Category Archives: Evolutionary Psycology

જોડે રેજો રાજ-૨. Hard Truths About Human Nature.

જોડે રેજો રાજ-૨. Hard Truths About Human Nature.

પુરાણોમાં મુક્તાચાર, ભાઈ બહેનના સમાગમ સંબંધો, પોતાની સ્ત્રી મિત્ર કે મહેમાનને અર્પણ કરવી, ગુરુપત્ની સાથે સમાગમ, બહુ પુરુષ ગમન, બહુ સ્ત્રી ગમન, પ્રાણીઓ સાથે સમાગમ, હંગામી સંબંધો, કન્ટ્રેક્ટ મૅરેજ જેવા અનેક દાખલા જોવા મળશે. વસિષ્ઠ અને અગત્સ્ય ઋષિ બંને એક જ માતાના જુદા જુદા પિતા દ્વારા પેદા થયેલા ભાઈઓ હતા. એ સમાજ આજના જેટલો દુષ્ટ ઑર્થોડૉક્સ સમાજ નહોતો. એ સમાજ આજના જેટલો પ્રેમીઓનો દુશ્મન નહોતો.

સ્ત્રી પુરુષના સંબંધોમાં ધીમે ધીમે  ઇવલૂશન થતું ગયું. શરૂમાં આપણે જોયું કે ભાઈ બહેન જ સમાગમ કરીને સંતતિ પેદા કરતા હતા. ચાલો  મહાભારતમાં  શાંતિ  પર્વમાં ભીષ્મ પિતામહ શું કહે છે તે જોઈએ.

नचैषांमैथुनोधर्मोबभूवभरतर्षभ।

संकल्पादेवचैतेषांगर्भःसमुपपद्यते।।  — 12-206-42

ततस्रेतायुगेकालेसंस्पर्शाज्जायतेप्रजा।

नह्यभून्मैथुनोधर्मस्तेषामपिजनाधिप।।  — 12-206-43

द्वापरेमैथुनोधर्मःप्रजानामभवन्नृप।

तथाकलियुगेराजन्द्वन्द्वमापेदिरेजनाः।।  — 12-206-૪૪

 ” હે ભરતશ્રેષ્ઠ, પ્રાણીઓનો વંશ સાશ્વત (ચિરસ્સ્થાયી) બનાવવા માટે સંભોગ જરૂરી નથી. એ દિવસોમાં સંતતિ (સંતાન-અપત્ય-ગર્ભ) સંકલ્પમાત્રથી થતી હતી.

તે પછીનાં યુગ, ત્રેતાયુગમાં, પ્રજા (સંતાન) સ્પર્શમાત્રથી થતી. એ યુગનાં લોકોને, હે રાજન, સંભોગની જરૂર ન હતી.

હે રાજન, દ્વાપરયુગમાં મનુષ્યોમાં સંભોગની ક્રિયાનું પ્રચલન થયું. અને કલિયુગમાં હે રાજન, લોકો લગ્ન કરી અને જોડલું બનાવી રહેતા થયા.”

ભીષ્મ પિતામહ ઉપર મુજબનું જ્ઞાન યુધિષ્ઠિરને આપતા હોય છે. એક નોંધવા જેવી વાત એ પણ છે કે ભીષ્મ પિતામહે પણ આ જ્ઞાન બીજા દ્વારા મેળવેલું છે, લગભગ વ્યાસ દ્વારા. એમના કહેવાનો ભાવાર્થ  એવો છે કે સતયુગમાં સમાગમની જરૂર નહોતી પડતી ખાલી સંકલ્પ કરવાથી સંતતિ પેદા કરી શકાતી, ત્રેતાયુગમાં સંકલ્પથી આગળ વધવું પડ્યું કે સ્પર્શ માત્રથી સંતતિ પેદા કરી શકાતી, દ્વાપર યુગમાં સંભોગ શરુ થયો, પણ હજુ લગ્નવ્યવસ્થા જેવી કોઈ વ્યવસ્થા નહોતી, કળિયુગમાં લોકો લગ્ન કરી જોડલું બનાવીને રહેવા લાગ્યા.

એક વાત નક્કી છે કે સંકલ્પ કે ઇચ્છા માત્ર થવાથી છોકરા પેદા નાં થાય. સ્ત્રી પુરુષના સમાગમ વગર સંતતિ પેદા નાં થાય. ખાલી સ્પર્શ કરવાથી પણ સંતતિ પેદા ના કરી શકાય. વળી આ જ્ઞાન પણ ભીષ્મ પિતામહે બીજા દ્વારા મેળવેલું છે. ઘણી ખોટી માન્યતાઓ હજારો વર્ષોથી ચાલી આવતી હોય છે. જેમ કે પૃથ્વી શેષનાગ ઉપર છે, હર્ક્યુલસે ઉચકેલી છે, સપાટ છે વગેરે વગેરે. હજુ આજે પણ જૈન સાધુઓ માટે પૃથ્વી સપાટ જ છે.

સજીવોના થયેલા ઇવલૂશન મુજબ જોઈએ તો એક કોશી સજીવો માટે સંભોગની ક્યાં જરૂર છે? સંકલ્પ પૂરતો છે એક માંથી બે થવા માટે. તો માછલાં અને તેમના જેવા અનેક સજીવોને પણ કહેવાતા સંભોગની જરૂર નથી હોતી. માદા ઈંડાનો ઢગલો મૂકી દે તેના પર નર આવીને તેના સ્પર્મ છોડીને જતો રહે. આ ખાલી સ્પર્શ જ થયોને? અને બીજા પ્રાણીઓ ક્યાં લગ્ન કરે છે? માનવ પણ હમણાં સુધી લગ્નના બંધન વગર સંતતિ પેદા કરતો જ હતો ને?

સૂક્ષ્મ અર્થમાં જોઈએ તો સતયુગમાં માનવો આદિમાનવ હોવા જોઈએ, અથવા થોડા સુધરેલા. કોઈ જોડી કે પેઅર બૉન્ડિંગ જેવું હશે જ નહિ. બે જણા વચ્ચે ઇચ્છા પેદા થઈ કે સીધા સંભોગમાં ઊતરી જતા હશે. ત્રેતાયુગમાં માનવ આગળ વધ્યો, સ્પર્શ વડે ઇચ્છા જતાવવાનું શરુ થયું હશે. હાથમાં હાથ પકડીને ફરવાનું શરુ થયું હશે. એમાંથી પાણીગ્રહણ વિધિ ઉદ્ભવી હોવી જોઈએ. દ્વાપર યુગમાં કાયદેસર સંભોગ શરુ થયા હશે પણ લોકો જોડીઓ બનાવતા હશે પણ લગ્ન જેવી વિધિ કરતા નહિ હોય. કળિયુગમાં લોકો લગ્ન કરીને જોડી બનાવીને રહેવા લાગ્યા, જે હજુ ચાલુ છે.

આજે આપણે ભાઈ બહેન સંભોગ દ્વારા સંતતિ પેદા કરતા જાણી આંચકો ખાઈ જઈએ છીએ, અરે સમ્રાટ જનમેજય પણ આવી વાતો સાંભળી ધ્રૂજી ઊઠેલા ત્યારે વૈશમ્પાયન ઋષીએ એમને શાંત પડેલા કે ‘હે રાજન ! પ્રાચીન સમયમાં તે યુગ-ધર્મ હતો’

ભીષ્મની વાતો સાવ નાંખી દેવા જેવી નથી. સત્યનો અંશ એમાં જરૂર છે. પૃથ્વી સપાટની  ગોળ ભલે બની પણ પૃથ્વી હતી તો સપાટની ગોળ બની ને? જૈન મુનિઓ માટે પૃથ્વી છે તેટલું જ ગનીમત છે. એક તો પહેલા મજબૂત નરને જ નારી મળે તેવી કુદરતી વ્યવસ્થા હતી. કોઈ લગ્ન વ્યવસ્થા હતી નહિ. ઉદાલક મુનિનો પુત્ર શ્વેતકેતુ ખૂબ નાનો હતો. પણ બુદ્ધિશાળી હતો. એ સમયે લગ્નના પવિત્ર બંધન હતા જ નહિ. એક ઉદાલક કરતા વધારે વિદ્વાન બ્રાહ્મણ આવ્યો અને ઉદાલકની સ્ત્રીને કહે ચાલ મારી સાથે. સ્ત્રી એટલાં માટે લખું છું કે લગ્ન વ્યવસ્થા આવી પછી પત્ની શબ્દ આવ્યો. બ્રાહ્મણોમાં મજબૂત કોણ કહેવાય? જે વધારે વિદ્વાન હોય તે. પેલી નાના શ્વેતકેતુને અને ઉદાલકને મૂકી ને ધરાર ચાલી ગઈ. બસ નાના શ્વેતકેતુનાં મનમાં થયું કે આ કેવું? એણે મોટા થઈને લગ્નવ્યવસ્થાની રચના કરી. અને પવિત્રતાનાં વાઘા પહેરાવી દીધા.

વધુ આવતે અંકે—-

નોંધ:– મિત્રો આ શ્રેણી માટે ઉપયોગી માહિતી પૂરી પાડવા બદલ મિત્રો શ્રી ચિરાગ પટેલ, ડો શ્રી હિતેશ મોઢા અને શ્રી અશોક મોઢવાડીયાનો ખુબ આભારી છું.

મૃત્યુને પેલે પાર

મૃત્યુને પેલે પાર
  મૃત્યુ પછીના જીવનમાં માનવું ભારત માટે નવું નથી. આપણે ભારતીયો સતત પરલોકની ચિંતા કરતા હોઈએ છીએ. પુનર્જન્મ થવાનો જ છે એવી માન્યતાએ ભારતને સાવ  ધીમું પાડી દીધું છે. આજે નહિ તો કાલે અને આ જન્મે નહિ તો આવતે જન્મે કામ પૂરું કરીશું. નવા જન્મે સુખી થવા માટેની ચિંતા અને પળોજણમાં લગભગ હાલનો જન્મ બગાડીએ છીએ. ક્યારેક કોઈને એક્સીડેન્ટ થાય તો મોતના અનુભવ લઈને પાછાં આવ્યાના દાખલા પણ ચર્ચાતા હોય છે. શરીરમાંથી જીવ બહાર નીકળી ગયાનો અનુભવ પણ ઘણાને થતો હોય છે, અને જીવ પાછો શરીરમાં આવી જતો હોય છે. જીવ ક્યાંક મુસાફરી કરીને પાછો આવ્યાની અનુભૂતિ ઘણા વર્ણવતા હોય છે. આવા અનુભવને near-death experience (NDE)કહેવાય છે. આવા પારલૌકિક અનુભવ ખાલી ભારતમાં થાય છે તેવું પણ નથી. ૧૮ મિલિયન અમેરિકનો આવો અનુભવ થયાનું કબૂલે છે. હવે અમેરિકાના એક કરોડ કરતા વધુ અને ભારતના એક અબજ કરતા વધુ લોકો માનતા હોય કે આત્મા શરીર છોડી જાય છે અને ભગવાનને મળવા જાય છે કે મળે છે કે એવા બીજા અનેક  પૂરાવા રજૂ કરવાથી આ બધી બાબતો સત્ય બની જતી નથી. લોકો એમને થયેલા અનુભવો વિષે ખોટો અર્થ કરી લેતા હોય છે, વિપર્યાસ કરતા હોય છે. optical illusion આનું બહેતર ઉદાહરણ છે. બ્રેઈનમાં મૅમરી સ્ટોર થયેલી હોય છે તે જેવી માહિતી બહાર મોકલે તેવું ઘણીવાર દેખાતું હોય છે. એટલે કહેવત છે કે ઘણીવાર આંખે જોયેલું પણ સાચું હોતું નથી. હમણાં હું મારા શ્વશુરને ઘેર ગયેલો. બારણું ખોલતા અંદર જરા અંધારાં જેવું હોય તે સ્વાભાવિક હતું. અંદર દૂર મારા શ્વસુરજી ઉભા હતા પણ મને ક્ષણવાર માટે એમના બદલે મારા સાળાશ્રી જણાયા. બ્રેઇને  આંખો દ્વારા મળેલી માહિતીનું ખોટું પ્રોસેસિંગ ક્ષણવાર માટે કરી નાખ્યું. આખો દિવસ મંદિરમાં મૂર્તિઓ આગળ કાલાવાલા કર્યા હોય તો ભગવાન દેખાઈ જાય તે સ્વાભાવિક છે. રામકૃષ્ણ પરમહંસને મહાકાલી સાથે વાતો કરવાના ભ્રમમાંથી મુક્ત કરવા માટે યોગીરાજ તોતાપુરી સ્વામીને સારી એવી તકલીફ પડેલી.
     Kevin Nelson (The Spiritual Doorway in the Brain) નોંધે છે કે હ્રદયમાંથી ધકેલાતું ૨૦ ટકા બ્લડ સીધું બ્રેઈન તરફ જાય છે. બેભાન થતા પહેલા ઘણીવાર આ બ્લડ ફ્લો ૬ % સુધી ઘટી શકે છે. જ્યારે બ્લડ પ્રેશર ખૂબ નીચું જતું રહે અને નબળાઈને કારણે મૂર્છા આવે ત્યારે હૃદય સાથે સીધું જોડાણ ધરાવતી મોટી vagus nerve સભાન અવસ્થાને REM sleep તરફ વાળી મૂકે છે. જોકે બધા લોકોને આવું સીધી રીતે REM sleep તરફ વળવાનું શક્ય નથી બનતું, પણ ઘણા બધા ઝટ અસર થાય તેવા વિવિધ  આભાસ થતા હોય છે, આને REM intrusion કહે છે. જાગૃત અને ઊંઘ વચ્ચેની અવસ્થા દરમ્યાન આવું ખાસ થતું હોય છે. રેમ અવસ્થા એટલે આપણે ઊંઘમાં સ્વપ્ના જોતા હોઈએ તે અવસ્થા કહેવાય અને આ અવસ્થા સમયે શરીર સાવ શીથીલ થઈ જતું હોય છે. આ સ્વપ્નાવસ્થા અને જાગૃત અવસ્થા વચ્ચે ઝોલા ખવડાવતું મીકેનીઝમ NDEs  અનુભવની વાતો કરનારા લોકોમાં પણ કામ કરતું હોય છે.  rem intrusion દરમ્યાન લકવો (sleep paralysis )થઈ ગયો હોય તેવો અનુભવ થતો હોય છે. આમાં સંપૂર્ણ જાગૃત હોઈએ તેવા અનુભવ સાથે ભારવિહીન હોઈએ તેવું લાગે, શરીરની બહાર હોઈએ તેવા અનુભવ સાથે દિગ્મૂઢ થઈ જવાય. રેમ સ્લિપ દરમ્યાન બ્રેઈનના પ્લેઝર સેન્ટર ઉત્તેજિત થતા હોય છે, એના લીધે  એક પરમ શાંતિ અને એકતાનો અનુભવ પણ થતો હોય છે જે NDEs દરમ્યાન પણ નોંધાયો છે. ઊંઘના ચાર તબક્કાઓ હોય છે. પહેલા ત્રણ ભાગને NREM- Non Rapid eye movement  સ્લિપ કહેવામાં આવે છે, અને ચોથા તબક્કાને REM એટલે કે Rapid eye movement કહેવામાં આવે છે. NREM નો ત્રીજો તબક્કો ઊંડી ઊંઘનો છે. ત્યાર પછી રેમ આવે તેમાં આંખો કશું જોઈ રહી હોય તેમ પોપચાં પાછળ ઝડપથી ફરતી હોય છે, સપના જોવાના શરૂ થઈ ચૂક્યા હોય છે.  ઊંઘવા માંગતો વ્યક્તિ ધીમે ધીમે ચોથા રેમ તબક્કામાં  પ્રવેશ કરે અને તરત જાગી જાય ત્યારે પણ  ઉપર મુજબનો અનુભવ થતો હોય છે.
Near-Death experiences વખતે કોઈ ટનલ, બોગદામાંથી પસાર થતા હોય તેવા લાખો અનુભવ પણ નોંધાયા છે. મૂર્છા પામતા પહેલા “tunnel vision ” અનુભવમાંથી પસાર થયાના દાખલા ખૂબ જાણીતા છે. નેત્રપટલનાં કેન્દ્ર કરતા એના પરિઘ તરફ બ્લડ ફ્લો વધારે ઓછો થતા દ્ગષ્ટિ ફલક કોમ્પ્રેસ્ડ થાય છે, અને તેના લીધે ટનલ વિઝન ઇફેક્ટ પેદા થતી હોય છે એવું  Neurophysiology નું માનવું છે. મૂળ આંખો તરફ લોહી ઓછું વહે તેમાં આવી ઇફેક્ટ પેદા થતી હોય છે.
     બીજો NDEs વિશેનો અનુભવ  શરીરની બહાર હોઈએ તે છે. આત્મા શરીર બહાર નીકળી ગયો છે તેવો અનુભવ થતો હોય છે. આ પણ એક જાતનું ઇલ્યુઝન છે. અચાનક જાગી જવાથી, એનિસ્થીઝયામાંથી બહાર આવતા, આંચકી કે તાણ આવે ત્યારે, માઇગ્રેન  થાય  ત્યારે ઘણાને આત્મા શરીરમાંથી બહાર નીકળી ગયો હોય તેવા અનુભવ થતા હોય છે. હવે આ બધા કારણો વખતે આત્મા શરીર બહાર નીકળી જાય તેવું માનવાને કોઈ કારણ નથી. ૧૯૫૦મા Penfield નામના ન્યુરોસર્જન seizures ઉપર સંશોધન કરી રહ્યા હતા. બ્રેઇનમા ટ્યુમર હોય કે કોઈ જખમ થયો હોય તે seizure માટે કારણભૂત છે કે નહિ તે વિષે સંશોધન કરતા હતા. બ્રેઈનના cerebral cortex નો તાગ મેળવવા એમણે સેંકડો જાગૃત દર્દીઓના બ્રેઈનને stimulate કરેલા. બ્રેઈનમાં આપણું ફીજીકલ બોડી ક્યાં છે તેનો તાગ મેળવવો હતો.
  એક પેશન્ટ temporal lobe seizures વડે પીડાતો હતો. Penfield વિદ્યુત કરંટ વડે દર્દીના બ્રેઈનને ઉત્તેજિત કરતા હતા. આ દર્દીના temporoparietal region stimulate કરતા દર્દીને લાગ્યું એનો આત્મા શરીર બહાર આવી ગયો છે. અને stimulation બંધ કરતા આત્મા પાછો શરીરમાં આવી ગયો છે તેવો  અનુભવ થયો. હવે ન્યુરોલોજીસ્ટ જાણી ચૂક્યા છે કે બ્રેઈનનો temporoparietal region  શરીરની રૂપરેખા કે નકશાને સંભાળવાનું કામ કરે છે. જ્યારે બહારથી આ વિભાગને કરંટ આપવામાં આવે છે ત્યારે તે કામ કરવાનું બંધ કરતા શરીરનો નકશો મન કે દ્ગષ્ટિ આગળ તરવા લાગે છે.  બ્રેઈનમાં  temporoparietal region આપણાં શરીરની રૂપરેખાનું પ્રતિનિધિત્વ કરે છે. આઈરીશ લેખક ક્રિસ્ટી બ્રાઉન આખા શરીરે લકવા ગ્રસ્ત હતો. જન્મથી દસ વર્ષ સુધી એને મેન્ટલી  રીટારડેડ સમજવામાં આવ્યો હતો. એ બોલી પણ ના શકતો. એનું બ્રેઈન ફક્ત ડાબા પગને જ કંટ્રોલ કરી શકતું હતું. ચાલી પણ ના શકતો. એણે ડાબા પગ વડે ચિત્રો દોર્યા, જુના જમાનાનું ટાઇપ રાઈટર ચલાવ્યું ને મોટો લેખક બની ગયો. સેરેબ્રલ પાલ્સીનો એ શિકાર હતો. બ્રેઈનનો આ  વિભાગ શરીરનું બેલેન્સ જાળવવાનું કામ કરે છે. બાળકને જન્મ સમયે ઓક્સિજન  એટલે કે શ્વાસ   લેવામાં કોઈ ગરબડ ઊભી થાય કે આચકી આવે તો આ સેરેબ્રલ  વિભાગમાં ગરબડ થાય છે. આમ બ્રેઈન ચાલતું હોવા છતાં શરીરને સેરેબ્રલ વિભાગમાં ખામી હોવાથી કોઈ આદેશ આપી શકતું નહોતું. stephen hawking પણ હાલ એવી હાલતમાં છે. એમનું શરીર બ્રેઈનનાં કોઈ મેસેજ લઈ શકતું નથી. આમ જુઓ તો એમનો આત્મા શરીર બહાર કાયમ સ્થિત હોય તેવું જ છે ને?  temporoparietal region માં કશી ગરબડ થતા કે ઈજા થતા આત્મા શરીર બહાર નીકળી ગયો છે તેવું લાગતું હશે. એક તો આપણે આત્મા, પરમાત્મા અને પુનર્જન્મ જેવી માન્યતાઓમાં અગાઉથી સંપૂર્ણ રત હોઈએ અને આવી કોઈ ઈજા થાય અને શરીર હલનચલન કરવા હંગામી અસમર્થ બની જાય ત્યારે પેલી પૂર્વગ્રહિત ધારણાઓ પણ આત્મા બહાર નીકળી ગયો છે તેવું માનવા પ્રેરતી હોઈ શકે.
સપના પણ આવી બાબતોમાં ખૂબ મહત્વનું કામ કરતા હોય છે. ઘણા લોકો સપનાને સત્ય સમજતા હોય છે. અથવા એ બહાને લોકોને લલ્લુ બનાવતા હોય છે. અમારા એક વૃદ્ધ સંબંધી મહિલા ઘણીવાર લોકોને લલ્લુ બનાવતા કહેતા કે આજે કાનુડો મને મળવા આવેલો. પછી ખબર પડી કે સપનામાં કાનુડો આવેલો. ખરેખર કાનુડાનું સપનું પણ આવ્યું હશે કે કેમ? પણ લોકો એમની પાસે કશી શક્તિ છે સમજી પુછવા આવતા. ઘણીવાર મૃત સગા સપનામાં આવે તો ભૂત થયા છે તેવું પણ લોકો માનતા હોય છે. સપનામાં આવતી મૃત વ્યક્તિઓના લીધે પણ પુનર્જન્મ છે તેવી ધારણા બંધાઈ જતી હોય છે. ટ્રેડિશનલ સમાજોના મોટાભાગના રીલીજીયસ આઈડીયા સપનાઓની પેદાશ છે તેવું Jackson Steward Lincoln અને  Sir Edward Tylor (The dream in Native American and other primitive cultures)કહે છે. સપનામાં જોએલી વાતો ધાર્મિક રીતિ રિવાજ બની જતી હોય છે.
ભગવાન, એન્જલસ, ભૂત, મૃત્યુ પામેલા પૂર્વજો આવી અદ્રશ્ય ગણાતી વ્યક્તિઓ  શા માટે દેખાતી હશે? આવી બધી બાબતોમાં માનવું ઉત્ક્રાન્તિના વારસામાં જન્મજાત મળેલું હોય છે. The Oxford psychologist Justin Barrett has suggested that the prevalence of beliefs of this kind may in part be explained by our possessing a Hyper-sensitive Agent Detection Device, or H.A.D.D. આપણે આસપાસની દુનિયાનું બે રીતે પૃથક્કરણ કરતા હોઈએ છીએ એક તો કુદરતી કારણો વિચારીને  અને બીજું વ્યક્તિને અનુલક્ષીને વિચારતા હોઈએ છીએ. દાખલા તરીકે વૃક્ષ ઉપરથી કેરી નીચે પડી તો એક કારણ એવું હોય કે પવન આવ્યો અને કેરી નીચે પડી ગઈ બીજું કારણ એવું હોય કે મગનભાઈને કેરી ખાવાનું મન થયેલું એમણે વૃક્ષ હલાવ્યું અને કેરી નીચે પડી. આપણે જે વાતાવરણમાં જીવીએ છીએ ત્યાં આસપાસ અસરકર્તા બહુબધા વ્યક્તિઓ રહેતા હોય છે. ફેમિલી મેમ્બર્સ, મિત્રો, દુશ્મનો, હરીફો, હુમલાખોરો, શિકાર અને શિકારી આવા અનેક આસપાસ હોય છે. આપણે આવા પ્રતિનિધિઓ બાબતે વધારે પડતા સેન્સીટીવ, ઓવર સેન્સીટીવ બનવા ઇવોલ્વ થયેલા છીએ. એમને જાણવા અને ઓળખવા સર્વાઈવલ અને રીપ્રોડક્શન માટે મદદરૂપ થતું હોય છે. એટલે પાછળ કોઈ સુસવાટા મારે કે પવન જોરથી આવે તો આપણે તત્ક્ષણ પાછાં ફરીને કોઈ છે કે નહિ તે જોવાનો પહેલો પ્રયાસ કરીશું. પહેલો વિચાર એવો નહિ આવે કે ખાલી પવન છે. આમ કાલ્પનિક અસંખ્ય પ્રીડેટર વિષે વિચારવું બહેતર બની જાય એક રીયલ પ્રીડેટરનાં મુખમાં સ્વાહા થઈ જવા કરતા. Thus evolution will select for an inheritable tendency to not just detect – but over detect – agency. We have evolved to possess (or, perhaps more plausibly, to be) hyper-active agency detectors. એટલે ભલે કોઈ ના દેખાય પણ કોઈ છે  તેવું વિચારવા આપણે ઇવોલ્વ થયેલા છીએ. આ વલણનાં લીધે સ્પીરીટ, ઘોસ્ટ, એન્જલસ, ભગવાન, રાધાકૃષ્ણના રાસ બધું દેખાતું હોય છે. કેટલાક સ્માર્ટ લોકો આ ખૂબીનો દુરુપયોગ કરીને ખૂબ રૂપિયા કમાય છે જેને આપણે ધર્મગુરુ કે કથાકાર કહીએ છીએ.

જોડે રેજો રાજ-૧ Hard Truths About Human Nature

જોડે રેજો રાજ. Hard Truths About Human Nature.

ઉત્ક્રાંતિનું મહત્વનું પરિબળ છે કામ(સેક્સ). એના રૂપ ભલે વિવિધ હોય, જેવા કે વનસ્પતિ જગતમાં પરાગનયન કહેવાય છે પણ સેક્સ વગર ઉત્ક્રાંતિ શક્ય નથી. ઘણા સજીવો પ્રત્યક્ષ સમાગમ કરતા નથી હોતા. દા.ત. માછલીઓમાં એગ્સ ઉપર સ્પર્મ છાંટીને નર રવાના થઈ જતો હોય છે. આમ ઉત્ક્રાંતિનું ચક્કર આગળ ચાલુ રાખવા નર માદાનું સાહચર્ય જરૂરી છે. કુદરતને આ ચક્કર ખૂબ મજબૂતીથી આગળ વધારવું છે. આમ હવા, પાણી અને ખોરાકની જેમ sex drive બેસિક છે. કુદરતને નબળા જેનિસ નવી પેઢીમાં ટ્રાન્સ્ફર થાય તેમાં રસ નથી હોતો. કરોડો વર્ષોથી પ્રાણીઓ નાર માદાના સંબંધોને કોઈ નામ આપ્યા વગર ઉત્ક્રાંતિ કરતા આવ્યા છે.

પુરાણોની પ્રતીકાત્મક વાર્તાઓ સમજવા જેવી હોય છે. એમાંથી ઇવલૂશનનો ઇતિહાસ મેળવી શકાય છે. પૃથ્વીની ઉત્પત્તિ થઈ  શરૂમાં બ્રહ્માજીએ સ્ત્રી ઉત્પન્ન કરી, જે હાલની દ્રષ્ટીએ એમની પુત્રી કહેવાય. પુત્રી સાથે મૈથુનમાં રત થઈને બ્રહ્માજીએ સંખ્યા વધારવાનું શરુ કર્યું. વાર્તા તો એવી છે કે એમની પુત્રી ભાગી અને બ્રહ્માજી પાછળ પડ્યા. અહીં જુઓ મજબૂત નરનાં પરીક્ષણ માટે લગભગ તમામ સજીવ માદાઓ ભાગતી હોય છે, નરને પોતાની પાછળ દોડાવતી હોય છે પછી સમાગમ કરવા દેતી હોય છે.

આ પુત્રી ભાગીને ગાય બની ગઈ તો બ્રહ્માજી આખલો બની ગયા, ઘોડી બની ગઈ તો બ્રહ્માજી ઘોડો બની ગયા. આમ સ્વરૂપ બદલાતા ગયા અને જાત જાતના સજીવો પેદા થતા ગયા. કુદરત ફળદ્રુપ સ્ત્રી અને પુરુષ એવા સંબંધને જાણતી હોય છે. ધીમે ધીમે ઇવલૂશન થતું ગયું. સંબંધોને નામ મળતા ગયા. પુત્રી સાથેના સેક્સ સંબંધો પ્રાચીન ઈજીપ્તમાં માન્ય હતા.

જૈનોના પ્રથમ તીર્થંકર ઋષભદેવ જેઓ આદિનાથ તરીકે પણ ઓળખાય છે. નાથ શબ્દ સમૂહના વડાને સૂચવે છે. આદિનાથ સુધી બહેન સાથે જ  જોડી બનાવીને પ્રજોત્પત્તિ કરવામાં આવતી હતી. લગ્નવ્યવસ્થા જેવું કશું હતું નહિ. ઋષભદેવનો ઉલ્લેખ તો ઋગ્વેદમાં પણ છે. વાર્તા એવી છે કે દરેક જોડીને એક પુત્ર અને પુત્રી પેદા થતા મોટા થઈને આ જ કહેવાતા ભાઈ બહેન જોડી બનાવીને આગળ સંતાન પેદા કરતા. અકસ્માતે આવી એક જોડી ખંડિત થઈ, આ જોડીમાંનો પુરુષ મૃત્યુ પામ્યો. પેલી સ્ત્રી એકલી પડી, તો ઋષભદેવે એમની સાથે સ્ત્રી હોવા છતાં પેલી એકલી પડેલી સ્ત્રી સાથે જોડી બનાવી. અહીં શરૂઆત થઈ ભાઈ બહેન સિવાય જોડી બનાવવાની. આ વાર્તા સત્ય હોય કે નાં પણ હોય. છતાં સમજવા જેવી વાત એ છે કે ભાઈ બહેનનાં સેક્સ સંબંધો સિવાયના સેક્સ સંબંધોની શરૂઆત થઈ. ચાલો યમ અને યમીનો દાખલો જોઈએ.

યમરાજાને ધર્મરાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. યમરાજાને એક બહેન હતી યમી. આ યમીએ ભાઈ યમને સમાગમ કરીને સંતાન માટેની ઇચ્છા પૂરી કરવાનું કહ્યું. યમરાજાએ આ ઑફર નકારી. ત્યારે યમી ગુસ્સે થાય છે, ભાઈ શું કામનો જે એની ઇચ્છા પૂરી ના કરે અને અનાથ છોડી દે?  भ्राता, भर्तृ બંનેનું મૂળ भ्रમાં સમાયેલું છે, અને એનો અર્થ ભરવું કે સંતોષવું થાય. યમી કહે છે  ”किंभ्रातासद्यद्अनाथंभवति? किमुस्वसायत्निरऋतिःनगच्छात्”.

પ્રાચીન ઈજીપ્તમાં રાજા એની બહેન જોડે જ લગ્ન કરતો બ્લડ લાઈન શુદ્ધ રાખવા માટે અને ક્વચિત્ પુત્રી જોડે લગ્ન કરતો. અહીં યમ દ્વારા યમીને નાં પાડવાથી એક કુખે અવતરેલા વચ્ચે જોડી બનાવવાના સંબંધો પૂર્ણ થયા અને ભાઈ બહેનના સંબંધો ઊભર્યા જ્યાં સેક્સ અસ્વીકાર્ય બન્યો. અનુભવો દ્વારા માનવ શીખ્યો હોય કે નજીકના લોહીના સંબંધોમાં પ્રજા પેદા કરવામાં વારસાગત રોગો ઊતરવાનું જોખમ વધી જાય છે. આ સમજ કેળવાઈ હોય અને યમ દ્વારા યમીને સંતાન પ્રાપ્ત કરવાની ઇચ્છા પૂર્ણ કરવા બાબતે ના પડાઈ હોય.

મોટાભાગના મૅમલ સમૂહમાં રહેવા ઈવૉલ્વ થયેલા છે. માંસાહારી મૅમલ વચ્ચે સર્વાઇવ થવાનું હોય તેવા મૅમલ તો ખાસ સમૂહમાં રહે તો જલદી સર્વાઇવ થવાય તેવું શીખીને સમૂહમાં રહેવા ઈવૉલ્વ થઈ જતા હોય છે. કાર્નિવોરસ મૅમલ પણ એકલાં હોય તો શિકાર મળવો મુશ્કેલ હોય છે. દિવસો સુધી ભૂખ્યા રહેવું પડતું હોય છે.

માણસજાત સમૂહમાં રહેવા ઈવૉલ્વ થયેલી છે. એટલે ધીમે ધીમે પ્રથમ  માતૃપ્રધાન સમાજ વિકાસ પામ્યા હશે. સંતાનો પણ માતાથી ઓળખાતા પિતા વડે નહિ. પિતા સમૂહમાંથી કોઈ પણ હોઈ શકે. મામા શબ્દ પિતા કરતા જુનો લાગે છે. બાળકો પણ સમૂહના બાળકો ગણાતા. વંશ પણ શરૂમાં માતાથી ઓળખાયા છે. અદિતિના આદિત્ય, દિતિના દૈત્ય, દનુના દાનવ આમ વંશ પણ માતા વડે ઓળખ પામેલા છે.

આપણાં હોમોસેપિનનાં કઝન ગણાતા ચિમ્પેન્ઝી male dominant સમાજ ધરાવે છે, અને એવા જ બીજા કઝન બોનોબો female dominant સમાજ ધરાવે છે. હાથી માતૃપ્રધાન સમાજ છે. મોટાભાગના મૅમલમાં pair-bonding હોતું નથી. માનવમાં પણ નહોતું. લગ્નવ્યવસ્થા હજુ દૂરની વાત હતી. ધીમે ધીમે વિકાસના ક્રમમાં આગળ વધતા  વધતા, સમૂહની પ્રધાન  સ્ત્રી પોતાના સમૂહના જુદા જુદા પુરુષો સાથે  સમાગમ સંબંધો રાખતી હશે, સમૂહનો મુખ્ય પુરુષ સમૂહની તમામ સ્ત્રીઓ પ્રત્યે આધિપત્ય રાખતો હશે, સમૂહના અનેક પુરુષો અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખતા હશે. એક સમૂહના સ્ત્રી અથવા પુરુષો બીજા સમૂહના સ્ત્રી પુરુષો સાથે સંબંધ રાખતા હશે. આમ એક સમૂહ એટલે એક વંશ આવા સમૂહો ધીમે ધીમે ગોત્રમાં પરિવર્તન પામ્યા હશે તે નક્કી છે. હવે સ્ત્રીની પહેલી પસંદ મજબૂત જીન અને વિપુલ સંપદા હોય તે સ્વાભાવિક છે.

ઘણાને સ્ત્રી મળતી નહિ હોય જેનિસ ટ્રાન્સ્ફર કરવા માટે. આવા લોકોને સ્વેચ્છાએ કે અનિચ્છાએ સ્ત્રીઓ માટે પોતાનો દાવો જતો કરવો પડતો હશે. આવા લોકોને માન સન્માન આપી દેવું સારું એ બહાને નડતા બચે. આવા લોકો બ્રહ્મચારી ઋષિઓ કહેવાયા. ચાલો આ જન્મે નહિ આવતા જન્મે કે સ્વર્ગમાં સોળ વરસની સુંદર અપ્સરાઓ ભોગવવા મળશે,  હાલ ભાગો અહીંથી તપ કરો જંગલમાં જઈ. સનકાદી ઋષિઓ આવા દાખલા છે. એમાં તપ કરતા કોઈવાર ભૂલમાં કન્યા મળી પણ જાય જેમ ચ્યવન ઋષિને મળી ગયેલી. એ બહાને આજે આપણને ચ્યવનપ્રાશ ખાવા મળે છે.

પુરાણોમાં મુક્તાચાર, ભાઈ બહેનના સમાગમ સંબંધો, પોતાની સ્ત્રી મિત્ર કે મહેમાનને અર્પણ કરવી, ગુરુપત્ની સાથે સમાગમ, બહુ પુરુષ ગમન, બહુ સ્ત્રી ગમન, પ્રાણીઓ સાથે સમાગમ, હંગામી સંબંધો, કન્ટ્રેક્ટ મૅરેજ જેવા અનેક દાખલા જોવા મળશે. વસિષ્ઠ અને અગત્સ્ય ઋષિ બંને એક જ માતાના જુદા જુદા પિતા દ્વારા પેદા થયેલા ભાઈઓ હતા. એ સમાજ આજના જેટલો દુષ્ટ ઑર્થોડૉક્સ સમાજ નહોતો. એ સમાજ આજના જેટલો પ્રેમીઓનો દુશ્મન નહોતો.

વધુ પછી—-

ટેવ મુક્તિ

English: An ashtray with a rose, Logo of the W...
English: An ashtray with a rose, Logo of the World No Tobacco Day of the WHO Deutsch: Ein Aschenbecher mit Rose, Logo des Nichtrauchertages der WHO (Photo credit: Wikipedia)
ટેવ મુક્તિ
    દરેક માણસને સારી ખોટી ટેવો વળગેલી હોય છે. અમુક ટેવો ખૂબ ખતરનાક હોય છે. સીધી આરોગ્યને નુકસાનકારક હોય છે. આજે વિશ્વ  તંબાકુ દિન નહિ, પણ “World No Tobacco Day ”  છે. વર્ષે દહાડે આશરે ૫૪ લાખ લોકો તમ્બાકુના વિવિધ પ્રકારે અતિસેવન કરવાથી દેવ થઈ જતા હોય છે. દર વર્ષની ૩૧ મેં નાં દિવસે ગણાતો આ વિશ્વ તંબાકુ નિષેધ દિન ૧૯૮૭મા WHO દ્વારા નક્કી કરવામાં આવેલો. Ash tray, રાખદાનીમાં ગુલાબનું તાજું ફૂલ વિશ્વ તંબાકુ નિષેધ દિવસનું પ્રતીક છે.
ચાલો તંબાકુ અને એવી અનેક ટેવો સીધી નુકશાન કારક હોય છે પણ ઘણાંને દેખીતી નજરે આમ ખોટી ના કહેવાય છતાં નુકશાન કરે તેવી ટેવો હોય છે. કોઈને કાયમ વધુ પડતું ઘી ખાવાની ટેવ હોય છે. ઘણા સંબંધીઓ મેં જોયા છે હાર્ટની, હાઈ બીપીની તકલીફ હોય ડોકટરે નાં પાડી હોય કે કોલેસ્ટેરોલ વધુ છે ઘી વગેરે ખાવું નહિ, પણ ઘી ખાધા વગર ચાલે નહિ. ભલે યુવાનીમાં ઘી ખાવું જરૂરી લાગતું  હોય પણ અમુક ઉંમર પછી ઘી ખાવું જરૂરી હોતું નથી. ઘણાંને ગળપણ ખાવાની ખૂબ આદત હોય છે. મીઠાઈ ખાધા વગર ચાલે નહિ, ભલે વધુ પડતી શુગર નુકસાનકારક જ કેમ ના હોય? ચાલો આ બધી તો ખાવાની આદતો થઈ.
ઘણા છોકરાઓને સ્કૂલમાં બંક મારવાની આદત હોય છે. તો કોઈને ભણવાનું ગમતું નથી, મિત્રો સાથે પાર્ટી માણવાનું કે પછી ફિલ્મો જોવાની આદત હોય છે. ભણવાને બદલે મિત્રો સાથે રખડવાની ટેવે કેટલાય હોશિયાર છોકરાઓને અભ્યાસ બગાડતા મે જોયા છે. અને પછી સારી ડિગ્રી મળી ના હોય ત્યારે જોઈએ તેવી જોબ મળે નહિ ત્યારે પસ્તાવો કરતા પણ જોયા છે. માબાપ ઘણું કહે, ટોકે પણ માનતા હોતા નથી. મિત્રો સાથે રખડી ખાતા હોય છે. મિત્રો હોવા ખૂબ સારી બાબત છે. પણ એ મિત્રોના રવાડે ચડી ભણતર નો બગાડાય.
આવી તો અનેક ખરાબ આદતો આપણને હોય છે, કારણ? કારણકે આપણું બ્રેઈન સમજતું હોય છે કે  આ બધી આદતો સર્વાઈવલ માટે સારી છે. મૂડના હોય કે સારી લાગણી અનુભવાતી ના હોય ત્યારે ચા પીએ, કોફી પી લઈએ, મીઠાઈનો એક ટુકડો ખાઈએ   કે બુધાલાલ તંબાકુ ચુના સાથે મસળીને મુખમાં ભરીએ કે મિત્રો સાથે ભમવા નીકળી પડીએ  ત્યારે સારું લાગતું હોય છે. આમ બ્રેઈનને અનુભવ મળતો હોય છે કે મીઠાઈના ટુકડામાં, એક ચોકલેટમાં, એક કપ ચામાં, ચપટી તમ્બાકુમાં કે મિત્રોના સંગમાં બેડ ફીલિંગ્સ ને ગુડ ફીલિંગ્સમાં બદલી નાખવાની ક્ષમતા છે. મેમલ બ્રેઈન પ્રમાણે બેડ ફીલિંગ્સ બરાબર સર્વાઈવલ થ્રેટ્સ અનિષ્ટનું સૂચન. મેમલ બ્રેઈન માટે જે કઈ પણ બેડ ફીલિંગ્સની પાછળ પડી ભગાડે તે સર્વાઈવલ માટે સારું ગણાય.
એકાદ દિવસ કોઈ કારણવશ આપણે પોતાને ઉપેક્ષિત સમજીએ ત્યારે એકાદ મીઠાઈનો ટુકડો સારું અનુભવ કરાવે કે કોઈ છોકરો પોતાને ઉપેક્ષિત અનુભવ કરે અને મિત્રો સાથે ફરવા નીકળી પડે ત્યારે સારું લાગતું હોય છે, ત્યારે આ અનુભવ બ્રેઈનમાં એક કનેક્શન ઊભું કરે છે. ઉપેક્ષાની લાગણીનો અનુભવ કુદરતના રાજમાં સર્વાઈવલ માટે ભયજનક ગણાય. એકલાં પડેલા મેમલ પ્રિડેટર દ્વારા હંમેશા ચવાઈ જતા હોય છે. મીઠાઈનો એક ટુકડો, ચપટી તમાકુ, એક કપ ચા સિંહના જડબામાંથી બચાવે છે. આમ મીઠાઈના ટુકડાનો કે ચપટી તંબાકુનો વિરોધ બ્રેઈનને એવું લાગે કે તમે અર્જન્ટ ભયજનક પરિસ્થિતિમાં આવી ગયા છે, બ્રેઈન ચીસ પાડશે કે કશું કરો. અને આ સિગ્નલ એટલાં સખત હોય છે કે બુધાલાલ મુખમાં અંદર.
ખોટી ટેવોને બદલવી પડતી હોય છે. પાઈપમાં પાણી વહેતું હોય છે તેમ બ્રેઈનમાં ઈલેક્ટ્રીસીટી વહેતી હોય છે. પાણી પણ સરળતાથી વહી શકાય તે તરફ જતું હોય છે. બ્રેઈનમાં કોઈ મોટી ચેનલ આપણે બનાવીએ તો ઈલેક્ટ્રીસીટી તે તરફ વહી જતી હોય છે. સુખાનુબોધ માટેના રસ્તા આપણે બ્રેઈનમાં બનાવી ચૂક્યા હોઈએ છીએ. આમ કંઈક નવું કરવા માટે પહેલા નવો neural pathway બનાવવો પડે છે. એટલે ખોટી ટેવનો ન્યુરલ પાથ બદલવા નવો  ન્યુરલ પાથવે બનાવવો પડે છે.  બહુ કઠિન છે આ કામ કારણ જ્યારે બેડ ફિલ કરતા હોઈએ ત્યારે પેલો જૂની જાણીતો હાઈવે સેવા કરવા તૈયાર જ ઊભો હોય છે.  આખી જીંદગી લોકો નવો રાજમાર્ગ બનાવી શકતા નથી. મરી જવાય તો કઈ નહિ પણ નવો માર્ગ બનાવી શકતા નથી. નામ યાદ રહ્યું નથી પણ જે અમેરિકન  વિખ્યાત કેન્સર સર્જને આખી જીંદગી કેન્સર યુક્ત  ફેંફસાના ઓપરેશન કરેલા તે પોતે સિગારેટ છોડી નહિ શકવાના કારણે ફેંફસાના કેન્સરના કારણે દેવ થઈ ગયેલા.
ધારો કે તમે ઉપેક્ષા અનુભવો તો ગાજર ખાવાના ખરા? હાસ્યાસ્પદ લાગશે. ગાજર કોઈ સંતોષ નહિ અર્પે. મીઠાઈનો ટુકડો જરૂર સંતોષ આપશે. કારણ ફેટ અને શુગર કુદરતના રાજમાં સર્વાઈવલ માટે મુખ્ય ગણાતા હોય છે. તંબાકુ નકલી ડોપામીન છે, ચામાં પણ શુગર અને ડોપામીન ઇફેક્ટ મળતી હોય છે, કોફીનું કેફીન તો ઓર ઉત્તેજિત કરી મૂકે. અને મિત્રો સાથે મુવી જોવા જવું તો ઓર મજાનું, એમાં તો સામાજિક સ્વીકાર છે. આ બધા હેપી કેમિકલ રીલીઝ કરતા ન્યુરલ હાઈવે બનાવતા હોય છે. આમાં ગાજર બિચારું સાવ નકામું લાગે. હેપી કેમિકલ રીલીઝ કરે નહિ તેવી ગાજરની પીપુડી અહીં વાગે નહિ. પણ રિપીટેશન પુનરાવર્તન ન્યુરલ પાથવે બનાવી શકે છે. જ્યારે ખરાબ અનુભવીએ ત્યારે ગાજર ખાઈએ તો નવો રસ્તો બનતો જતો હોય છે. અને તમે જો ૪૫ દિવસ આનું રિપીટેશન કરો તો એક પૂરતી મોટી ચેનલ બ્રેઈનમાં  બની શકે છે. બુધાલાલની જગ્યા ગાજર લઈ શકે છે. જસ્ટ આતો દાખલો આપ્યો કે ખરાબ ટેવો  બદલવા ગાજર ખાવા જેવી નિર્દોષ ટેવ પાડી શકાય છે. જો કે ઉંદર કાઢતા સાપ ના ઘૂસી જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. મેમલ બ્રેઈન એટલું બધું જોરદાર હોય છે કે તમે જોખમ અનુભવો તે પહેલા મીઠાઈનો ટુકડો મોઢામાં મુકાવી દેતું હોય છે. ૨૦૦ મિલયન વર્ષનો ઉત્ક્રાંતિનો અનુભવ છે એની પાસે.
માનો કે એક છોકરાના સાયન્સમાં કે ગણિતમાં માર્ક્સ ઓછા આવ્યા, દુખી થઈ ગયો અને મિત્રો સાથે ફરવા કે મુવી જોવા ગયો. અચાનક એની બેડ ફીલિંગ્સ ગુડ ફીલિંગ્સમાં બદલાઈ ગઈ. મેમલ બ્રેઈન માટે શું થયું સમજો. શૈક્ષણિક અસફલતાની વિપદા(થ્રેટ) મિત્ર સાથે પાર્ટીમાં કે ફિલમ જોવા જવાથી દૂર થઈ ગઈ. મિત્રો સાથે જવાથી સામાજિક સ્વીકાર મળે જે હેપી કેમિકલ રીલીઝ કરે. એનાથી આનંદ મળે સુખ મળે. એક નવો ન્યુરલ રાજમાર્ગ બનવાનું શરુ  થઈ ગયું. જ્યારે જ્યારે સ્કૂલ કે કૉલેજ બાબતે કશું પણ ખરાબ  ફિલ થાય કે મિત્રો સાથે ઊપડી જવાનું નક્કી થઈ ગયું. બસ આમ ને આમ નવો ન્યુરલ રાજમાર્ગ રેતી, સિમેન્ટ,  કપચી નંખાઈ જઈને મજબૂત બની જવાનો. હવે આ છોકરો વિચારતો પણ હશે કે એણે ભવિષ્ય માટે એકેડેમિક સ્કીલ મેળવવી પણ જરૂરી છે. પણ જ્યારે તે મિત્રો સાથે પાર્ટીમાં જવાને બદલે લાઇબ્રેરીમાં જતો હશે ત્યારે કોઈ સિંહ વડે ખવાઈ જતો હોય તેવું લાગતું હશે. એને સમજ નહિ પડતી હોય કે શું થઈ રહ્યું છે. લાઇબ્રેરી છોડીને મિત્રો સાથે જતા રહેવામાં શાંતિ મળતી હશે. આમ ને આમ અભ્યાસ બગડતો જવાનો.
હવે આ રખડી ખાવાની ટેવ છોડવા શું કરવું પડે? નવો રાજમાર્ગ બનાવવો પડે. એવા મિત્રોની દોસ્તી કરાવી પડે જે રખડવામાં નહિ પણ ઠરીને બેસીને અભ્યાસ કરવામાં માનતા હોય. અને એવા મિત્રોના સહવાસમાં સામાજિક સ્વીકારનું સુખ અને આનંદ મળે. શરૂમાં તો અઘરું લાગે. પણ ૪૫ દિવસ ઠરીને બેસી રહે અને અભ્યાસ કરે તો નવો ન્યુરલ રાજમાર્ગ તૈયાર થઈ જાય. કોઈ પણ હિસાબે મન મક્કમ કરીને જૂની ટેવને તાબે નાં થાવ તો પણ બ્રેઈન તે ટેવ વગર જીવવાનું શીખી લેતું હોય છે. અથવા આપણે નવી નિર્દોષ ટેવ પાડવી પડે.
એક મનોવૈજ્ઞાનિકનો નોંધેલો દાખલો લખું. જેન નામની એક છોકરી કોઈ છોકરા સાથે ડેટ પર જવાની હતી. તે નર્વસ હતી, પણ ડેટ પર જવાનું હોવાથી નવો ડ્રેસ ખરીદવા ગઈ તો એની બેચેની દૂર થઈ ગઈ. હવે પેલી ગ્રેટ ડેટ પતી ગઈ ને નર્વસનેસ પાછી આવી. જેનનું બ્રેઈન સામાજિક સ્વીકાર ઝંખતું હતું. સામાજિક જોડાણ વગર મેમલ બ્રેઈન આપત્તિ સમજતું હોય છે. જેન નવી ડેટ પર જવાની કલ્પના કરી ડ્રેસ ખરીદવા ચાલી જતી. ધીમે ધીમે શોપિંગ કરવા જવાનો ન્યુરલ પાથવે એણે ઊભો કરી લીધો. આ વ્યર્થ ખરીદી કરવાના રોગે પરિસ્થિતિ બગડવા લાગી. એની પાસે પૈસા રહ્યા નહિ. એની કાર રિપેર કરવાના પણ પૈસા રહ્યા નહિ. એક મિત્રને મોલમાં લઈ જવા વિનંતી કરી પણ એણે ના પાડી દીધી. બધા એનો રોગ જાણતા હતા. બીજા દિવસે તે બીમાર પડી ગઈ. એક અઠવાડિયું શોપિંગ કર્યા વગરનું ગયું. એને લાગતું હતું કે શોપિંગ કર્યા વગર મરી જવાની છે. પણ તે મરી નહિ. એના બ્રેઈનને પણ લાગવા લાગ્યું કે શોપિંગ કર્યા વગર આમ કઈ મરી નથી જવાતું. ઘણા દિવસ વીતી ગયા. સાજી થયા પછી એની શોપિંગ કરવાની ઇચ્છા ઉછાળો મારતી પણ વધુ એક દિવસ રાહ જોઉં તેમ કહી મન મનાવી લેતી. ૪૫ દિવસ પછી એને લાગ્યું કે શોપિંગ કર્યા વગર ચાલે.
તમે નવો ન્યુરલ પાથવે ૪૫ દિવસમાં બનાવી શકો છો, શરત એટલી છે કે ૪૪ દિવસ સિંહ તમને ખાઈ રહ્યો છે તે દુઃખદ  લાગણી સહન કરવી પડશે. હહાહાહાહા!!!!આવું મારી મોટી બહેન  Loretta Graziano Breuning, Ph.D. કહે છે.

ફેસબુક વળગણ ( Hard Truths About Human Nature)

ફેસબુક વળગણ  ( Hard Truths About Human Nature)

 

 

કોઈ સાયકીયાટ્રીસ્ટને પૂછવાની જરૂર નથી કે આજે  દુનિયા ફેસબુક પાછળ  પાગલ  થઈ ગઈ છે. આશ્ચર્યજનક  આંકડા જણાવે છે કે આશરે ૮૦૦  મિલિયન લોકો દર મહીને ફેસબુક વાપરે છે. યુ.એસ.એ. સ્થિત  આશરે ૧૫ કરોડ ૬૮ લાખ લોકો, બ્રાઝીલના ૪ કરોડ ૮૦ લાખ, ભારતના ૪ કરોડ ૬૩ લાખ, ઈન્ડોનેશિયાના ૪ કરોડ ૨૫ લાખ  લોકો નિયમિત ફેસબુક નો ઉપયોગ  કરે છે. આપણાં પાડોશી દેશ પાકિસ્તાનના ૬૪ લાખ લોકો ફેસબુક  યુઝર છે. ચીન  વસ્તીમાં નંબર વન ભલે હોય  પણ આશરે ૫ લાખ ૫૦૦૦ ચીનાઓ  જ ફેસબુકમાં માને છે. એના કરતા ગરીબ  અને ભૂખે મરતાં દેશ  જણાતા ઇથિયોપિયામાં ૫ લાખ ૩૭૦૦૦ લોકો ફેસબુકના દીવાના છે. સૌથી ઓછા ફેસબુક પાગલો વેટિકન સિટીમાં રહે છે, ફક્ત ૨૦ જણા, બાકીના વેટિકન  લોકોને અતિપાગલ  માનવા હોય તો માની શકાય. આમ લગભગ આખી દુનિયા ફેસબુક પાછળ દીવાની છે એની પાછળનું વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક , રાસાયણિક  રહસ્ય  સમજવા જેવું છે.

 

 

ફેસબુક  ઘેનની પાછળ  જવાબદાર  રહસ્યમય  પ્રવાહીનું નામ  છે, dopamine. ડોપામીન  એક  બ્રેઈન  કેમિકલ  છે જે આનંદદાયક ભાવનાઓ  સાથે  જોડાયેલું છે.  આપણે સ્વાદિષ્ટ ભોજન કરીએ, પૈસા બનાવીએ, સેક્સમાં ઊતરીએ કે પછી કોકેન, ભાંગ  કે ગાંજાનો નશો કરીએ  ડોપામીનનાં આનંદદાયક  નાનકડા ફુવારા બ્રેઈનમાં છૂટીને ખુશી અર્પતા હોય છે, બરાબર તે જ રીતે બ્રેઇનમા રહેલા રીવોર્ડ  રસ્તે ડોપામીન  રીલીઝ  થાય છે જ્યારે આપણે ફેસબુક ઉપર  ખાસ પસંદ કરીને ફોટો મૂકીએ છીએ કે સરસ મજાનું પ્રોફાઈલ પિક્ચર મૂકીને મિત્રોનું સ્વાગત કરીએ છીએ. વર્ચ્યુઅલ  ફ્રેન્ડશીપ પણ રીયલ ફ્રેન્ડશીપની જેમ ડોપામીન હેપીનેસ આપે છે.

 

 

 કરુણ વાતો અને દુઃખદ  ઘટનાઓ પણ  મિત્રો સાથે શેર કરીએ છીએ  એની પાછળ મળે છે મિત્રોનો વિશ્વાસ  અને સહાનૂભુતિ જે oxytocin  હેપીનેસ  આપે છે જે love hormone  તરીકે ઓળખાય છે. સંકટ સમયે  stress hormone cortisol  જે પીડા આપે છે તેનું  શમન  કરવાનું કામ મિત્રોના લાગણીશીલ  પ્રત્યુત્તર કરતા હોય છે. મિત્રોના સારા પ્રતિભાવ બ્રેઈનના રીવોર્ડ વિભાગને ઉત્તેજિત કરતા હોય છે. આમ તો ફેસબુક આપણાં બ્રેઈનને એપ્રિલફૂલ બનાવે છે કે આપણાં ચાહતા આસપાસ છે, જે સર્વાઈવલ માટે જરૂરી છે. આપણાં શુભેચ્છકો આસપાસ હોય તો સર્વાઇવલના ચાન્સ વધી જાય. ફોટોગ્રાફી હમણાં શરુ થઈ, બહુ બહુ તો ૨૦૦ વર્ષ થયા હશે, ફોટોગ્રાફી પહેલા લાખો વર્ષ થયા હ્યુમન બ્રેઈન ઇવોલ્વ થયે. ફોટા જોઇને માનવી  પ્રત્યક્ષ છે તેવું અચેતન રૂપે ફિલ થતું હોય છે. સિનેમાની શોધ પણ હમણાં થઈ કહેવાય. હ્યુમન ઈવોલ્યુશનની સરખામણીએ આ બધી શોધોનો આજે જન્મ થયો હોય તવું કહેવાય. મુવી જોવા બેઠાં હોઈએ ત્યારે સામે પડદો છે તે બધું ભુલાઈ જાય છે. બધું રીયલ હોય તેવું જ લાગતું હોય છે.  મુવી જોતા જોતા કરુણ ઘટના દર્શાવતા દ્ગશ્યો આવે તો લોકો ચોધાર આંશુડે રડતા હોય છે. અમુક લેવલે પિક્ચર અને પીપલ વચ્ચે તફાવત છે તે યાદ રાખવામાં બ્રેઈન અસફળ થતું હોય છે. ફેસબુક પર ચેટિંગ કરીએ ત્યારે રૂબરૂ વાતો કરતા હોઈએ તેવું જ ફિલ થતું હોય છે.

 

 

૨૦૦૪ સુધીમાં ફેસબુક ઉપર  ૧૨૫ બિલિયન ફ્રેન્ડશીપ કનેક્શન થયા હતા, બે બિલિયન લાઈક્સ અને એક બિલિયન કોમેન્ટ્સ આવી ગઈ હતી. ડોપામીન લોડ  રીલીઝ થવા માટે ફેસબુક ઉત્તેજક માધ્યમ બનતું હોય છે, જે એકલતાની સફળ દવા બની જાય છે. આજે હજારોની ભીડ વચ્ચે માનવી જ્યારે સાવ એકલો પડી ગયો છે ત્યારે ફેસબુક રાહત આપે છે. જોકે બધા માણસો એકલતા અનુભવતા હોય તેવું પણ નથી. અહીં ફેસબુક જુદી રીતે કામ કરે છે. નૉવેલ્ટી, નવીનતા પણ બ્રેઇનમા હેપી કેમિકલ્સ રીલીઝ કરવા જવાબદાર બનતી હોય છે. ઘરમાં કોઈ નવી વસ્તુ ખરીદીએ, કોઈ નવું કપડું, નવા ઘરેણા, ફર્નિચર ત્યારે જે સુખ મળતું હોય છે થોડા દિવસ તે ન્યુરોકેમિસ્ટ્રીને આધારે છે. ઘરમાં નવું ફર્નિચર આવે અને કોઈ બીજું જુએ નહિ તો પણ મજા આવે નહિ. બે વખાણના શબ્દોની આશા બ્રેઈન રાખતું હોય છે. ભારતમાં તો અતિથિ દેવો ભવઃ હિસાબે કોઈ ને કોઈ ઘરમાં આવી જતું હોય છે એટલે કામ પતી જાય. પણ અહીં અમેરિકા અતિથિ દેવો ભવઃ મૅનર વગરનું લાગે. આપણાં ગુજરાતીઓ ઘરમાં કશું નવું લાવે તો કોને બતાવે? અ સત્યનારાયણની કથા રાખી દો, કામ પૂરું. અમારા શ્રીમતીજીના એક મહિલા સંબંધી  ક્યારેક ખૂબ આગ્રહ કરીને ઘરે બોલાવે, તો હું શ્રીમતીને કહું કે નક્કી આ તમારા સંબંધી કોઈ નવા ડ્રેસ કે જ્વેલરી ખરીદી લાવ્યા હશે. અને હું કાયમ સાચો પડતો હોઉં છું.

 

 

ઘણા લોકોને વ્યર્થ ખરીદી કરવાનો રોગ લાગેલો હોય છે. જોકે જ્યાં જરૂરી વસ્તુ ખરીદવાના ફાંફાં હોય ત્યાં વ્યર્થ ખરીદીની વાત ક્યાંથી હોય? પણ મેં અહીં એવી સંબંધી મહિલાઓ જોઈ છે જે આખો દિવસ Macy’s અને kohls જેવા સ્ટોરોમાં ફર્યા કરતી હોય અને કામ વગરના ડ્રેસીસ ખરીદ્યા કરતી હોય છે. એમના ઘરમાં એક દુકાન બનાવી શકાય તેટલા કપડા મેં પોતે જોયા છે એમાંથી ઘણાના તો પહેરવાનો વારો પણ આવતો નથી. આમ નવીનતા પણ સુખાનુબોધ અર્પે છે. આ હેપી કેમિકલ ઉપર ફેસબુકે બહુ મોટું માર્કેટ કવર કર્યું છે, અહીં રોજ આશરે ૩૦૦ મિલિયન નવી પોસ્ટ મુકાય છે. વળી ફેસબુકે એમાં ગેઈમ એડ કરી છે, જેને રમીને ૧૦૦ મિલિયન યુઝર્સ ડોપામીન ડોઝ મેળવે છે. અને આમાનું ઇન્વિટેશન ફીચર ડોપામીન સાથે ઓક્સીટોસીન સુખાનુંબોધ પણ આપે છે જે આપણે મિત્રો સાથે ગપ્પા મારીને મેળવતા હોઈએ છીએ.

 

 

ચાલો થોડું વધુ ખોતરીયે. બ્રેઇનમા mirror neuron હોય છે. જ્યારે કોઈ લાગણી દર્શાવે છે ત્યારે આ મિરર  ન્યુરોન્સ કામ કરતા હોય છે. આ ન્યુરોન્સ સહાનૂભુતિ સાથે તાદાત્મ્યની અનુભૂતિ કરાવતા અનુકરણશીલ હોય છે. જ્યારે કોઈ આપણને સ્માઈલ આપે છે ત્યારે આપણે કોઈ કારણ   જાણ્યા વગર સામે સ્માઈલ આપીએ છીએ. એ કરામત મિરર ન્યુરોનની છે. લાગણીઓ ચેપી હોય છે. બધા ચેપ ખરાબ હોતા નથી. ફેસબુક પોજીટીવ લાગણીઓનો શીતલ જળનો ફુવારો છે. યે દિલ માંગે more. Dopamine અને oxytocin ખૂબ પાવરફુલ સ્ટફ છે.

 

 

Nadkarni અને Hofmann (૨૦૧૨) નામના મનોવૈજ્ઞાનિકો  દ્વારા એક સ્ટડી થયેલો કે કયા મનોવૈજ્ઞાનિક  કારણો  ફેસબુક યુઝ  કરવા માટે કારણભૂત હોય છે. માનવની બે મૂળભૂત સામાજિક જરૂરિયાતો હોય છે. માનવ બીજા સાથે સામાજિક રીતે જોડાવા અને બીજા દ્વારા સ્વીકાર્ય બને તે રીતે  ડીઝાઈન થયો છે. જેટલું ફેસબુક યુઝ વધુ કરો તેટલા વધુ કનેક્ટેડ રહી શકાય છે. વધુને વધુ ફ્રૅન્ડ રીક્વેસ્ટ મળતી જતી હોય છે. બીજી મહત્વની મૂળભૂત જરૂરિયાત સેલ્ફ પ્રેઝન્ટેશન છે. જે ફેસબુક દ્વારા વ્યક્ત કરી શકાય છે. ફેસબુક ઉપર વ્યક્તિ પોતાને સામાજિક રીતે વધારે appealing સાબિત કરી શકતો હોય છે. આજે જ્યારે અત્યાધુનિક  જમાનામાં  રિશ્તો નાતે સારી રીતે જાળવી રાખવા મુશ્કેલ બનતું જાય છે, કહેવાતા સમાજ ધીમે ધીમે ઓગળી રહ્યા છે અને વધારે ને વધારે લોકો એકલતા અનુભવી રહ્યા છે ત્યારે આ આધુનિક ટેક્નોલૉજી મદદમાં આવી રહી છે. ભારતીય સમાજ માટે એકલતા આવવાની હજુ વાર છે, પણ અમેરિકન સમાજ માટે એકલતા અનિવાર્ય અંગ બની ચૂકી છે.

 

 

ફેસબુક ઉપર ઘણા લોકોના હજારો મિત્રો હોય છે અને કેટલાંના બહુ ઓછા. કોઈ માનશે? આ બ્રેઈનની સાઇઝ ઉપર ડિપેન્ડ કરે છે. એક તાજો સ્ટડી બતાવે છે કે જે લોકોના ખૂબ મિત્રો હોય તેમની આંખની ઉપરના ભાગે કપાળની અંદર આવેલો બ્રેઈનનો orbital prefrontal cortex વિભાગ જરા મોટો હોય છે. આ  વિભાગ ખૂબ જટિલ  ચિંતન મનન  કરતો હોય છે પોતાના વિષે અને બીજા શું વિચારતા હશે તેના વિષે. નવા તાજાં અભ્યાસ મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે જે લોકો ખૂબ મોટા સામાજિક નેટવર્ક દ્વારા જોડાયેલા હોય છે જેમાં ફેસબુક પણ સામેલ કરી શકાય છે તેવા લોકોના બ્રેઈનમાં  આવેલું કલ્પના અને લાગણીઓનું  નિયમન કરતું તંત્ર amygdala પણ મોટું હોય છે. મોટા પ્રમાણમાં સામાજિક સંબંધો જાળવી રાખવા માટે સારો એવો બ્રેઈનપાવર જોઈએ. વિપુલ પ્રમાણમાં સામાજિક સંબંધો સાચવી રાખવા સરળ હોતું નથી. મેમરીમાં બહુ બધું ભરી રાખવું પડતું હોય છે. ઘણા બધા નામ, ઘણા બધા ચહેરા, એમની સાથે થયેલા વ્યવહારના ડેટા, હજુ આ લોકો મિત્રો છે કે દુશ્મન બની ગયા છે, મિત્રોની તકલીફો , એમની સુખદ  દુઃખદ  ઘટનાઓ, એમના ભૂતકાળ, વર્તમાન,   આવું ઘણું બધું પુષ્કળ  પ્રમાણમાં યાદ રાખવું પડતું હોય છે. કોણ કોની સાથે કેવાં સંબંધો રાખે છે, કેવાં જોડાણો કરે છે, આજે મિત્ર કાલે દુશ્મન પણ બની શકે છે આવું ઘણું બધું વિચારવું પડતું હોય છે. આપણે કૉમ્પ્લેક્સ હાઈલી કમ્પેટિટિવ સોસાયટીમાં જીવીએ છીએ, જ્યાં સારી સામાજિક સ્કીલ જરૂરી છે.

 

 

તો મિત્રો કોકેન  લેનારાની, અતિશય ખરીદી કરનારાની અને ફેસબુક પર પુષ્કળ સમય ગાળનારા મિત્રોની બ્રેઈન કેમિસ્ટ્રી લગભગ લગભગ સરખું કામ કરતી હોય છે. પણ કોકેન લેવું હાનિકારક છે, વ્યર્થ ખરીદી કરવી પણ નકામું છે અને ફેસબુક પર કેટલો સમય ગાળવો તે આપણે નક્કી કરવાનું છે.

 

 

Ref :-

 

** Powell J., Lewis P.A., Roberts, N., García-Fiñana, M, & Dunbar, R.I.M. 2012. Orbital prefrontal cortex volume predicts social network size: an imaging study of individual differences in humans. Proceedings of the Royal Society of London B, in press.

 

 

**Nadkarni, A. & Hofmann, S. G. (2012). Why do people use Facebook?Personality and Individual Differences, Vol.52(3), Feb 2012, pp. 243-249.

 

 

 

 

 

 

 

ભૂકંપની આગાહી કૂતરા દ્વારા

DSC_0016
DSC_0016 (Photo credit: Scott Hammond)
ભૂકંપની આગાહી કૂતરા દ્વારા
કૂતરા અને બીજા પ્રાણીઓ આવનારા ભૂકંપને પારખવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે કે નહીં તે વિષય વૈજ્ઞાનિકો માટે હંમેશા ગરમાગરમ ચર્ચાનો વિષય રહ્યો છે. ભૂકંપ આવે તેની આગાહી કરવામાં કૂતરા અને બીજા પ્રાણીઓ માહેર હોય છે તેવું ઘણાનું માનવું છે. મહદંશે સાચું પણ છે. આવા પ્રાણીઓની વર્તણૂકનો અભ્યાસ કરીને ભૂકંપની આગાહી કરી શકાય છે. કૂતરા પાસે સૂંઘવાની વિશિષ્ટ ક્ષમતા હોય છે તે તો જગજાહેર છે. પણ આવી બીજી કોઈ સાયકિક સેન્સરી એબિલીટી હોય તે ચર્ચાનો વિષય છે. આલ્પ્સ પર્વત ઉપર ફરવા જનારા ટુરિસ્ટને આવનારા હિમપ્રપાત  વિષે કૂતરા દ્વારા ચેતવવાના સેંકડો પુરાવા મળ્યા છે. આવી દુર્ગમ પર્વતમાળામાં ફસાયેલા લોકોને બચાવનારી રેસ્ક્યુ ટીમને આવનારા avalanche સ્થળેથી કૂતરા દ્વારા દૂર લઈ જઈને સેફ રસ્તે લઈ જવાના અનેક દાખલા નોંધાયા છે. ત્યાં સુધી કે ભૂકંપ આવવાનો હોય તેના થોડા કલાકો કે ઘણીવાર દિવસ પહેલા તે બાજુ જવાનો કૂતરા ઇનકાર કરતા હોય તેવું વર્તન કરતા જોવા મળ્યા છે.
કૂતરા દ્વારા આવી ભૂકંપની આગાહીનો દાખલો ઈશા પૂર્વે ૩૭૩મા ગ્રીસમાં નોંધાયેલો છે. ચીન અને જાપાનમાં તો કૂતરા, ઉંદર, સાપ, ચકલી સ્થળાંતર કરવા માંડે તેને  ભયાનક ધરતીકંપ માટેની રાષ્ટ્રીય ચેતવણી ગણવાનો રિવાજ છે. કૂતરા અને આવા બીજા પ્રાણીઓની વિચિત્ર વર્તણૂક દ્વારા ચેતીને ૧૯૭૫મા ચીનના Haicheng શહેરના સત્તાવાળાઓએ ત્યાંના ૯૦,૦૦૦ લોકોને શહેર છોડીને સલામત સ્થળે ખસી જવાના આદેશો આપેલા. થોડા કલાક પછી ત્યાં ૭.૩ મેગ્નીટ્યુડ ભૂકંપે શહેરની ૯૦ ટકા ઈમારતો ધરાશાઈ કરી નાખેલી.
શિયાળામાં ઘણા લોકોને ડિપ્રેશન અને ઍંગ્ઝાયટિનાં હુમલા આવતા હોય છે. કૂતરા પરનાં  આવા Seasonal Affective Disorder વિષે Stanley Coren Ph.D. નામના સાયકોલોજીસ્ટ અભ્યાસ કરી રહ્યા હતા. સપ્ટેમ્બર થી એપ્રિલ  આઠ મહિના માટે ૨૦૦ કૂતરાની વર્તણૂકનાં અહેવાલ  એમના માલિકો દ્વારા એમને નિયમિત મળતા  હતા. રિસર્ચ ચાલુ હતું. એક ખાસ દિવસ ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૧નાં દિવસે કૂતરાઓમાં બેચેની વધી ગઈ. એક જ દિવસમાં ૧૯૩ કૂતરા બેચેન હતા અને એમની બિહેવિયર વિચિત્ર લાગતા રિપોર્ટ આવી ગયા. ૪૭ ટકા કૂતરા તે દિવસે વધારે પડતા વિચિત્ર હરકત કરતા હતા અને ૪૯ ટકા કૂતરામાં સારા એવા પ્રમાણમાં ઍંગ્ઝાયટિ જણાઈ  બીજા દિવસે પેસિફિક નોર્થવેસ્ટમાં ૬.૮ ભૂકંપ આવેલો જેના આંચકા કેનેડા vancouver લાગેલા જ્યાં આ સંશોધન ચાલતું હતું.
એક શક્યતા વૈજ્ઞાનિકોને એવી લાગે છે કે ભૂકંપની આગાહીમાં પ્રાણીઓમાં રહેલી સંભાળવાની ખાસ ક્ષમતા કામ કરતી હશે. ધરતીની અંદર નીચે થતી seismic એક્ટીવીટી આ પ્રાણીઓ સાંભળી શકતા હશે. જે કૂતરાના કાન મોટા લબડી પડેલા હતા તેવા કૂતરામાં આવી એક્ટીવીટી થોડી ઓછી જણાઈ. ધ્વનિ મોજા  પ્રવેશ માર્ગને મોટા લબડી પડેલા કાન ઢાંકી દેતા હતા. આવા ઢંકાયેલા કાન ધરાવતા કૂતરા પર પણ જુદા જુદા હર્ટઝ  અને ડેસીબલ  સાઉન્ડ વાપરીને  સંશોધન થયું. સવાલ હતો હાઈ ફ્રિકવન્સી સાઉન્ડનો. જમીન નીચે ખડકો ખેંચાઈને તૂટતા પેદા થતા ધ્વનિ મોસ્ટ  ક્રીટીકલ ગણાતા હોય છે.
બીજું એવું તારણ પણ છે કે જે પ્રાણીઓ પ્રમાણમાં નાનું મસ્તક ધરાવતા હોય છે તેની હાઈ ફ્રિકવન્સી ધ્વનિ સંભાળવાની ક્ષમતા વધુ હોય છે. આમાં ઈવોલ્યુશનરી અને અનુકૂલન કારણ કામ કરતું હોય તેમ લાગે છે. પ્રાણીઓ અવાજની દિશા અને અંતરની ગણતરી સમયના અનુંશન્ધાનમાં ચોકસાઈપૂર્વક કરતા હોય છે. દાખલા તરીકે મારી જમણી બાજુથી અવાજ આવે તો મારા જમણા કાને પહેલો પડે પછી ડાબા કાને પડે ભલે તેમાં સમયનો તફાવત સાવ નજીવો સેકન્ડના દસમાં ભાગ જેટલો કેમ નાં હોય? આ સમયના તફાવતને ગણતરીમાં લઈને પ્રાણીઓ અવાજની દિશા અને અંતર માપી લેતા હોય છે. બે કાન દ્વારા મળતા અવાજનો સમય ડિફરન્સ જેટલો ઓછો તેટલી ગણતરી ચોક્કસ હોય છે. નાનું મસ્તિક બે કાન વચ્ચે અંતર સ્વાભાવિક ઘટાડી દે છે. અહીં સમય ડિફરન્સ ઓછો થઈ જાય છે. આમ કુદરતે નાનું મસ્તિક આપ્યું તો ધ્વનિ તંત્ર સારું બનાવી દીધું. બહુ ઊંડા નહીં ઊતરીએ તો ચાલશે. એના માટે વૈજ્ઞાનિકો ખૂબ મહેનત કરે છે. આ વૈજ્ઞાનીકે નાની હેડ સાઇઝ અને મોટી હેડ સાઇઝ ધરાવતા કૂતરા જુદા જુદા તારવી પરીક્ષણ કરી લીધા. ભૂકંપના મોજા નાનું મસ્તક ધરાવતા કૂતરા જલદી પારખી લેતા જણાયા.
તારણ એવું હતું કે ભૂકંપના ૨૪ કલાક પહેલા કૂતરાની બિહેવિયર બદલાઈ જવાની શરુ થઈ જતી હતી. જે કૂતરા સાંભળવાની ક્ષમતા ધરાવતા નહોતા કે નજીવી ધરાવતા હતા તેમને કોઈ અસર થતી નહોતી, લબડી પડેલી ચામડી વડે ઢંકાયેલા કાન ધરાવતા કૂતરા પર ઓછી અસર થતી હતી. નાનું મસ્તક ધરાવતા કૂતરા વધારે અસર પામતા હતા. આ કોઈ અંતિમ સત્ય છે તેવું નથી, પણ કૂતરાઓની હાઈ ફ્રિકવન્સી સાઉન્ડ પ્રત્યેની સ્પેશીયલ સેન્સીવીટી સાથેની સાંભળવાની વિશિષ્ટ ક્ષમતા ભૂકંપ અને avalanches પધારી રહ્યા છે તેની આગાહી કરી શકે છે.
 

પ્યાર પહેલી સુગંધનો-Love At First Smell

પ્યાર પહેલી સુગંધનો-Love At First Smell

ધૂપદીપ ગુગળની ગંધ ના ગમે તેવો કોઈ હિંદુ હશે નહિ, લોબાનની ગંધ ના ગમે તેવો કોઈ મુસ્લિમ નહિ હોય. આ બે સુગંધ સાથે લોકોનું સાંસ્કૃતિક જોડાણ હોય છે. ગંધનું આપણાં જીવનમાં ખૂબ મહત્વ હોય છે. મનગમતી સુવાસ તણાવ ઓછો કરે છે, સરસ ઊંઘ લાવવામાં મદદ કરે છે. આત્મવિશ્વાસ વધારે છે. ગંધ એટલે સુગંધ અને દુર્ગંધનું ભાવનાઓ સાથે જોડાણ થઈ જતું હોય છે. મંદિરમાં જઈને ઘણાને શાંતિ મળતી હોય તેનું કારણ મંદિરમાં ફેલાવાતી ધૂપદીપની સુગન્ધ સાથે પવિત્ર શાંતિની ભાવનાનું કંડીશનિંગ હોય છે. સ્મેલ અને ઈમોશન્સની ક્ષમતાનાં મૂળિયા બ્રેઈનમાં એક ખાસ માળખામાં હોય છે જેને લીમ્બીક સીસ્ટમ કહેતા હોય છે. હિપોકેમ્પસ એરિયા નવી સ્મૃતિઓ ઘડવાનું કામ કરતું હોય છે. ટૂંકમાં સુગંધ મૅમરી ઘડવામાં અને તેને ફરી રિકોલ કરવામાં મદદરૂપ થતી હોય છે. નાં સમજાયું? સીધું સાદું સમજાવું કે ભણવા બેસો તો દાખલા તરીકે ચમેલીની સુગંધ ધરાવતી અગરબત્તી સળગાવો, અને પરીક્ષા આપવા જાવ ત્યારે ચમેલીની સુગંધવાળું અત્તર કે તેલ લગાવીને જાઓ. અરે ભાઈ પરીક્ષા ખંડમાં કોઈ અગરબત્તી સળગાવવા ના દે. આમ લાગણીઓ સાથે જે તે સુગંધ જોડાયેલી હોય છે. આમ જેની સૂંઘવાની ક્ષમતા ખલાસ થઈ ગઈ હોય તેવા લોકો સ્ટ્રેસથી પીડાતા હોય છે. અને જે લોકો ગંભીર તણાવના માનસિક રોગથી પીડાતા હોય તેવા લોકોની સૂંઘવાની શક્તિ જતી રહી હોય છે. સૂંઘવાની શક્તિ સંપૂર્ણ રીતે નાશ પામે તેને Anosmia કહે છે, ઘ્રાણેન્દ્રિયનો અભાવ. Alzheimer , Parkinson જેવા ન્યુરોલોજીકલ ડીસઓર્ડરનું શરૂઆતના લક્ષણમાં સૂંઘવાની ક્ષમતા ઓછી થઈ જવી હોય છે.

ઓસ્ટ્રેલીયન સાયકોલોજીસ્ટ John Prescott કહે છે માઈન્ડ અને બોડીનાં અર્થપૂર્ણ જોડાણના લીધે આનંદદાયક સુગંધ પીડા સહન કરવામાં મદદરૂપ બને છે. ખાસ તો મીઠી સુગંધ દુખ અને પીડા ઓછી કરે છે. મને યાદ છે અમે નાના હતા ત્યારે કશું વાગે તો મારા ‘બા’ એક ચમચી ખાંડ ખવડાવી દેતા. જો કે એમને આ બધી ખબર નહિ હોય મને પણ આજ સુધી નહોતી. એવું પણ હોય કે ગળ્યું ખાઈને એના સ્વાદમાં પીડા ભૂલી જવાય.

ખાસ સુગંધને ત્વરિત ઇનસ્ટંટ રીલેક્ષ થવા પણ વાપરી શકાય છે. Sensory psychologist Pamela Dalton કહે છે એક ખાસ પ્રકારની સુગંધ પસંદ કરો જે હવામાં ફેલાતી હોય ત્યારે શાંત થવા માટે ધ્યાન કરો. આ પ્રક્રિયાને વારંવાર દોહરાવો. થોડા વખત પછી ભલે તમે ધ્યાનમાં ના બેસો પણ ફક્ત આ સુગંધ તમને તણાવમુક્ત બનાવી શાંત કરી દેશે.

Bryan Raudendush , વેસ્ટ વર્જીનીયાનાં સાયકોલોજીસ્ટનાં રિસર્ચ પ્રમાણે પીપરમીન્ટની સ્મેલ સવારે જાગીએ ત્યારે બ્રેઈનમાં જે એરિયા એક્ટીવ થઈ જતો હોય છે તેને એક્ટીવ કરવામાં ગમે ત્યારે કારણભૂત બનતી હોય છે. આ સ્મેલની અસર તળે કસરતબાજ વધુ પુશ અપ કરતા માલૂમ પડ્યા છે.

સુગંધ વિષે અગાઉ એક લેખ લખી ચૂક્યો છું. દરેક માનવીની એક યુનિક ગંધ હોય છે અને આ ગંધનું કારણ હોય છે જેતે માનવીની યુનિક ઈમ્યુન સીસ્ટમ. અને આ યુનિક ઈમ્યુન સીસ્ટમનું કારણ છે Histocompatibility complex જિન્સનું ઝૂમખું. આમ આપણી odorprint આપણી ફિંગરપ્રિન્ટ જેટલી જ યુનિક હોય છે. એટલે સ્ત્રીને એવા પુરુષની ગંધ પ્રિય લાગશે જેની ગંધ તેની પોતાની ગંધ કરતા સાવ અલગ જ હોય.

એટલે Love At First Sight, નહિ પણ Love At First Smell વધુ સાચું છે. સાયકોલોજીસ્ટ Rachel Herz વિષે અગાઉ હું લખી ચૂક્યો છું. સ્મેલ શાસ્ત્રના આ પ્રકાંડ pundit પાસે એમની ખાસ મિત્ર Estelle Campenni કબૂલ કરે છે કે પહેલી વાર એ એના પતિને મળી અને તેની ગંધ એને એટલી બધી ગમી ગયેલી કે એણે નક્કી કરી દીધેલું કે લગ્ન આની સાથે જ કરીશ. એ કોઈ કોલોન કે લક્સ સાબુની ગંધ નહોતી. Sexual attraction remains one of life’s biggest mysteries. ઘણીવાર એવું લાગતું હોય કે જીવનસાથી ઊંચો હોવો જોઈએ, કે પત્નીને સરસ રસોઈ બનાવતા આવડવી જોઈએ, કે છોકરો પૈસાવાળો જોઈએ, કે પતિદેવ સલમાનખાન જેવી બોડી ધરાવતા હોવા જોઈએ. આવું બધું મળવા છતાં પણ ભંગાણ થઈ જતા હોય છે. કેટલાક સંશોધકોનું માનવું છે કે સેકસુઅલ વિશ્વમાં ગંધ રહસ્યમય પરિબળ છે.

કોઈ પણ જાતની ગંધ નાકની અંદર રહેલા chemoreceptor નામના સેન્સરી સેલને ઉત્તેજિત કરે છે. એનાથી ઉત્પન્ન થતા વિદ્યુત તરંગો બ્રેઈનમાં પહોંચે છે. બ્રેઈન આ તરંગોનું વિશ્લેષણ કરે છે અને સ્પેસિફિક ગંધમાં ભાષાંતર કરે છે, અને આપણને ગંધનો અનુભવ થાય છે. રસપ્રદ વાત એ છે કે સ્મેલ બીજી સેન્સીસ કરતા કંઈક વધુ છે. એનું જોડાણ બ્રેઈનના એવા વિભાગ સાથે છે જ્યાં લાગણીઓ અને શીખવાની પ્રક્રિયાનું પ્રોસેસિંગ થતું હોય છે જેને આપણે લીમ્બીક સીસ્ટમ કહીએ છીએ. લીમ્બીક સિસ્ટમમાં amygdala અને hippocampus સમાયેલા છે જે બિહેવિયર, મૂડ અને સ્મરણ શક્તિ માટે ખૂબ મોટો ભાગ ભજવતા હોય છે. આમ બીજી ઇન્દ્રિયો કરતા ઘાણેન્દ્રિય વધારે સેન્સીટીવ છે.

Melissa એક હેઈર ડ્રેસર છે. બચપણમાં માથામાં વાગ્યું હશે અને એની ઘાણેન્દ્રિય બંધ થઈ ગઈ. એણે કોઈ પણ જાતની ગંધની અનુભૂતિ થતી નથી. રસોઈ બળી જાય તો પણ એને ખ્યાલ આવતો નથી. એના માટે ઘરમાં બીજાની મદદ લેવી પડે છે. ઘરમાં બધે સ્મોક ડીટેકટર લગાવી રાખ્યા છે. સ્મેલ સેન્સ જવાની સાથે ટેસ્ટ સેન્સ પણ જતી રહી છે. મેલીસાની સ્મેલ સેન્સ જતા રહેવાનું કારણ હેડ ઇન્જરી હતું. MRI દ્વારા થયેલા પરીક્ષણો મુજબ બ્રેઈનના olfactory bulb પર થયેલી ઈજાના કારણે ૮૮ % , subfrontal region પર થયેલી ઈજાના કારણે ૬૦% અને temporal lobe પર થયેલી ઈજાને કારણે ૩૨% લોકો anosmia વડે પીડાતા હોય છે.

ઓરેન્જની સ્મેલ બેચેની દૂર કરે છે. Cedar, Lavender અને Vanilla ની સ્મેલ ટૅન્શન ઓછું કરે છે. લેમન અને જાસ્મિનની સુગંધ ચિંતન શક્તિ વધારે છે. ક્રૉસવર્ડ પઝલ્સ ઉકેલવા હોય તો બે ટીપાં લીંબુનો રસ ચાખી લો. કસરત કરતા પીપરમિન્ટ બોડી લોશન લગાવો. જાસ્મિન ઊંઘ સરસ લાવે છે. Rosemary અને ગ્રેપફ્રુટ જોમ જુસ્સો વધારે છે. તજ અને વેનીલાની ગંધ સર્જનાત્મકતા વધારે છે.

ઘણા માણસોને ખૂબ ચિંતા હોય છે કે એમના મુખમાંથી ખરાબ વાસ તો નહિ આવતી હોય ને? વારંવાર હાથ મુખ આગળ લઈ જઈને કોઈ ના જુએ તેમ ચેક કરતા હોય છે. Olfactory Reference Syndrome વડે પીડાતા લોકોને વહેમ હોય છે કે એમની ગંધ ખરાબ છે અને આસપાસના લોકોને ગમતી નહિ હોય. આવા સિન્ડ્રોમથી પીડાતા લોકો વારંવાર સ્નાન કરતા હોય છે, deodorants, માઉથવોશ, પર્ફ્યૂમ, મિંટ યુક્ત ચ્યુંઈંગ ગમ વગેરેનો અતિશય ઉપયોગ કરતા હોય છે. નજીકના અંગત લોકોને એમની ગંધ માટે વારેવારે પૂછતાં હોય છે. એકલાં રહેવાનું પસંદ કરતા હોય છે, સામાજિક સંબંધો ઓછા રાખતા હોય છે. કપડા વારંવાર બદલાતા હોય છે.

પ્યારા મિત્રો આમ ગંધનું, સુગંધનું જીવનમાં ખૂબ મહત્વ છે. પહેલી નજરનો પ્રેમ થવાનું કારણ નજર નહિ પણ એકબીજાની યુનિક ગંધ હોય છે. કારણ રૂપાળા અગણિત ચહેરા આસપાસ રોજ જોતા હોઈએ જ છીએ પણ પ્યાર થઈ જતો નથી.

રેફ:- Rachel Herz is the author of The Scent of Desire and on the faculty at Brown University.

હું છું, મારા Genes.

હું છું, મારા Genes.

કેરિયર કાઉન્સેલર Paula Wishart ( Ann Arbor , Michigan ) ને ૪૦ વર્ષે એક રહસ્ય જાણવા મળ્યું કે એના જિન્સમાં Lynch Syndrome વસી રહ્યો છે. કોલોન કેન્સર માટે જવાબદાર આ જીનેટીક્સ મ્યુટેશન વારસાગત લોહીમાં ઊતરતું હોય છે. સ્ત્રીઓમાં ગર્ભાશયનું કેન્સર પણ આને કારણે થતું હોય છે. આ મહિલાના દાદા અને પરદાદા પણ કોલોન કેન્સરના કારણે મૃત્યુ પામેલા તો ઘરમાં એવી વાયકા ચાલતી કે ફૅમિલીમાં કોઈ ખરાબ લોહી વહી રહ્યું છે.

Lynch Syndrome કાતરિયામાં છુપાયેલા ખૂની દરિન્દા જેવો છે જે ડઝન જુદા જુદા રસ્તે મારી શકે છે. આ રોગ માટે ટેસ્ટ શરુ થયા છે તેવું જાણ્યા પછી પણ આ મહિલાની કાકીએ એની ઉપેક્ષા કરેલી. એની કાકી કોલોન કેન્સરમાં ગઈ, થોડા સમય પછી તેની દીકરી, અને પછી દીકરો પણ ગયો. Wishart પોતે જાણવા માટે ડરતી હતી પણ વધુ ડરતી હતી ના જાણવા વિષે. રોગ છે તેવું જાણવું પણ ઘણાને ગમતું હોતું નથી. ડર લાગતો હોય છે. મારા એક સગા ખૂબ દૂબળા પડી ગયેલા અને સાવ કમજોર થઈ ગયેલા, પણ એમને ડર લાગતો કે ડૉક્ટર ટીબી છે તેવી નિદાન કરી દેશે તો? એટલે ડૉક્ટર પાસે જતા નહિ. વિશાર્તની માતાનો ટેસ્ટ પોજીટીવ આવ્યો હતો, એ અને તેનો ભાઈ પણ નસીબદાર નહોતા.

થોડા સમય પહેલા આપણે વિનાશક જીવલેણ મજબૂરીઓ વિષે જાણતા નહોતા. એટલે બધું ભગવાનના હાથમાં હતું. પછી ડોકટરો ભગવાનની જગ્યા લેવા લાગ્યા. જીવલેણ કમજોરીઓ વિષે આ લોકો જાણવા લાગ્યા હતા. હવે genomics ક્રાંતિએ આખી રમત ફરીથી બદલી નાખી છે. રોગોની માહિતી વિષે શુભ અને અશુભ ગૂંચવાડો ઊભો થઈ ગયો છે. જીનેટીક્સ ટેસ્ટ રોગોની આગોતરી જાણકારી વિષે મહત્વનું કામ કરે છે. જીવલેણ રોગો માટે કોઈ એક જિન્સ કારણભૂત હોતો નથી. એ ઘણા બધા જિન્સની ક્રિકેટ મેચ જેવું છે. જે હજુ વૈજ્ઞાનિકો માટે સમજવું અઘરું છે. જો કે આગોતરી જાણકારી લાભદાયી હોય છે. પેટ સ્કેન વડે Alzheimer રોગ વિષે અગાઉથી પેશન્ટમાં એના કોઈ લક્ષણ નાં દેખાય છતાં જાણી શકાય છે.

પણ આવી આગોતરી જાણકારી ઝેરી બની જતી હોય છે. અગાઉથી જિન્સ ચેક કરાવી પોતાના મોતની જાણકારી સાથે જીવવું શું યોગ્ય છે? કે આવી આગોતરી માહિતી ખુદ જીવલેણ નથી લાગતી? એક સ્ત્રીનું કહેવું હતું કે ” હું જાણું છું કે મને સ્તન કેન્સર છે અને તેનું કારણ Alpha-1 મ્યુટેશન છે, પણ ભગવાને આ જિન્સ મને જ કેમ આપ્યા? ભગવાને હું સંભાળી ના શકું તેવા જિન્સ મને શું કામ આપ્યા?”

આપણે ખરાબ ઘટનાઓના કારણો વિષે જાણવા ઉત્સુક હોઈએ છીએ. આપણે જાણવા માંગતા હોઈએ છીએ કે આ કરુણ ઘટનાનું કારણ શું? અને એના માટે કોને જવાબદાર ગણવા? જીનેટીક્સ ટેસ્ટ તમને તેના છુપા બાયોલોજીકલ પ્રોસેસની જાણકારી આપે છે. જોકે ખાનપાન,રહેણીકરણી, આબોહવા, વાતાવરણ, ટેવો આ બધું પણ જીવલેણ રોગો માટે જવાબદાર હોય છે. સાથે સાથે વારસામાં મળેલા જિન્સ અને જિન્સમાં થતા મ્યુટેશન પણ જવાબદાર હોય છે.

મારા એક કાકાશ્રી પોલીસખાતામાં હતા. રિટાયર થયા ત્યારે ડી.વાય.એસ.પી. હતા. બેઠી દડીના, વીંછીનાં આંકડા જેવી મૂછો રાખતા. સ્મોકિંગ કરતા, નિયમિત ડ્રીંક કરતા. બહારગામ જવાનું હોય તો એમની બેગમાં ડ્રીંક લઈને જતા. પણ મેં ક્યારેય સાંભળ્યું નથી કે એમને કોઈ ગંભીર બીમારીમાં દવાખાને દાખલ કર્યા હોય. આશરે ૮૫ વર્ષે તંદુરસ્ત હાલતમાં અચાનક ગુજરી ગયેલા. લાંબા આયુષ્ય માટે કારણભૂત જિન્સ છે FOXO3A વાંચો અહીં Flachsbart et al. 2009 અને 2008 .. અને સ્ત્રીઓના લાંબા આયુષ્ય માટે કારણભૂત છે જિન્સ FOXO1A.

Telomeres જિન્સના છેડા ઉપર બેસાડેલી કેપ સમજો. આ કેપ નાની હોય તો જિન્સ ડેમેજ થવાના ચાન્સ વધી જતા હોય છે. આ કેપ ટૂંકી અને ઘસાયેલી હોય એટલાં રોગ વધુ થવાના. બાળકોના જિન્સ ઉપરના telomeres ચેક કરીને જાણી શકાય છે કે બાળકો મોટા થઈને અમુક રોગો સાથે તણાવયુક્ત થઈને આક્રમક હિંસક વલણ ધરાવશે. બાળકોમાં આ telomeres ઘસાઈને ટૂંકા હોવાનું કારણ જણાયું છે મોટાઓ દ્વારા થતી શારીરિક સતામણી, શારીરિક સજા, બે કરતા વધુ હિંસક બનાવનો અનુભવ, સતત મળતી ધમકી. આ telomeres ઘસાઈ જવાનું બીજું કારણ હોય છે નબળો પ્રદૂષિત ખોરાક, કસરતનો અભાવ, સ્મોકિંગ, વિટામિન D ની ખામી, રેડીએશન, ડાયાબીટીસ જેવા રોગો. બસ તો બાળકોને સતત ધમકાવશો નહિ, શારીરિક સજા કરવી નહિ અને સ્કૂલ કે બહાર કોઈ સતત ડરાવતું નાં હોય તેનું ધ્યાન રાખવું. Dean Ornish અને એના સાથીઓ દ્વારા ૨૦૦૮ માં થયેલા એક પાયલોટ અભ્યાસ મુજબ હેલ્ધી ખોરાક, તનાવમુક્ત જીવનશૈલી તમારા telomeres ની લંબાઈ વધારીને સારું જીવન અર્પી શકે છે. હું અગાઉ લેખ લખી ચૂક્યો છું કે ધ્યાન કરો અને telomeres વધારો.

Bipolar disorder, anxiety, psychosis, panic attacks, suicide, depression, schizophrenia, OCD, alcoholism, eating disorders, આ બધા રોગોમાં વરસમાં મળેલા જિન્સ જવાબદાર હોય છે. Dr. Jehannine Austin , કહે છે સ્કીજોફ્રેનિયા,બાયપોલર ડીસઓર્ડર, OCD અને સ્કીજોઅફેક્ટીવ ડીસઓર્ડર જેવા મેન્ટલ રોગોમાં જિન્સ ખૂબ મહત્વનો ભાગ ભજવતા હોય છે જ્યારે આલ્કોહોલીઝમ, પેનિક ડીસઓર્ડર અને મેજર ડીપ્રેશનમાં જિન્સ નાનકડો ભાગ ભજવતા હોય છે.
ADHD
Depression
Bipolar disorder
Anxiety
Panic attacks
Substance abuse
Alcoholism
Attempted or committed suicide
Schizophrenia
Seizure disorder
Dementia/Alzheimer’s
ઉપર જણાવેલા તથા બીજા મેજર મેન્ટલ રોગો વારસાગત હોવાનું અભ્યાસમાં જણાયું છે. માતાપિતામાં આવા રોગ હોય ત્યારે બાળકોમાં એના ચાન્સ વધી જતા હોય છે. ADHD માબાપમાં હોય તો બાળકોમાં ઉતારવાનો ચાન્સ ૭૫% હોય છે. સ્કીજોફ્રેનિયા ૬૪ ટકા બાળકોમાં ઉતારવાનો ચાન્સ હોય છે અને bipolar ૫૯ % રેટ ધરાવે છે. ફૅમિલીની મેન્ટલ હેલ્થ હિસ્ટ્રી જાણી લેવી ઉત્તમ છે. જેનાથી નિદાન અને ઉપાયમાં સાવધાની વર્તી શકાય છે. ભારતમાં આવી બધી બાબતોનું મહત્વ આપણે સમજતા નથી તે કરુણતા છે. આપણે માનસિક બીમાર છીએ તેવું આપણે માની જ શકતા નથી. આવી ચકાસણી કે વિચાર કરવામાં નાનમ સમજતા હોઈએ છીએ. મેન્ટલ હેલ્થ એવો વિષય છે કે જેના વિષે જાહેરમાં આપણે વાત કરતા ખચકાતા હોઈએ છીએ.

૬ થી ૧૮ વર્ષના ૪૫ મિલિયન યુથ જ્યારે ઓર્ગેનાઈઝ્ડ સ્પોર્ટમાં ભાગ લઈ રહ્યા હોય ત્યારે અમેરિકામાં ACTN3 જિન્સ ચેક કરાવીને નક્કી કરવાની સવલત પણ આવી ગઈ છે કે તમારું બાળક ફૂટબોલ સારું રમી શકશે કે લોંગ ડિસ્ટન્સ રનીંગમાં આગળ વધશે.

ભારતમાં સંગીતનો સમૃદ્ધ વારસો બાળકોમાં ઊતરતો આપણે જોયો છે અને અનુભવ્યો પણ છે. મહાન સંગીતકારોના વારસદારો પણ મહાન સંગીતકાર બનેલા છે તેવા અગણિત દાખલા ભારતમાં છે. સંગીતની પ્રતિભા બાળકોમાં ઊતરવાની શક્યતા બાળકોમાં ૫૦% હોય છે. સંગીત ક્ષમતા સાથે જોડાયેલા જિન્સ વિષે એક અભ્યાસમાં જણાયું છે. ફેમિલી બેક ગ્રાઉન્ડ ભલે ના હોય પણ આ જિન્સ જો હોય તો એવા લોકો સંગીત ક્ષમતા ધરાવે છે.

બધું જિન્સ પર ઢોળી દેવું તે પણ ડહાપણ નથી. આપણે અનુભવ વડે જે ન્યુરલ નેટવર્ક બનાવ્યું હોય તે રીતે જીવન લાભદાઈ બનતું હોય છે. અને આ અનુભવો આપણાં જિન્સ અને આસપાસના વાતાવરણ વડે ઘડાતા હોય છે તે પણ હકીકત છે. જન્મ પછી જેમ જેમ અનુભવ થતા જાય તેમ તેમ ન્યુરલ નેટવર્ક ઘડતું જાય છે. ચર્ચિલના ફાધર એને કાયમ લુઝર કહેતા. એની માતા ભાગ્યેજ એને નોટિસ કરતી. ચર્ચિલના પિતાને એના પિતા લુઝર કહેતા. એની માતા સામાજિક કામોમાં વ્યસ્ત રહેતી. ચર્ચિલ ડિપ્રેશન વડે પણ પીડાતો હતો. એના પિતા પાસેથી કડવાશ અને અવહેલના શીખ્યો. માતા પાસેથી જોખમ લઈને સામાજિક રીતે વિજયી બનવાનું શીખ્યો. જુદાજુદા પેરન્ટસ પાસેથી મળેલી સારી ખોટી લાગણીઓ પામી અનુભવો વડે ઘડાયેલો ચર્ચિલ વિશ્વયુદ્ધમાં વિજેતા બનેલો. આમ બચપણમાં મળેલા અનુભવો થકી જે ન્યુરલ નેટવર્ક બને છે તે આખી જીંદગી આપણી સેવા કરતું હોય છે.

લાગણીઓના ચેપ. Hard Truths About Human Nature.

લાગણીઓના ચેપ. Hard Truths About Human Nature.

લાગણીઓના ચેપ

શું લાગણીઓ ચેપી હોય છે ? કોઈ કન્યા વિદાયની ઘડી હોય. કન્યા માતાપિતા, ભાઈ, બહેન, સગાવહાલાઓને ભેટીને રડતી હોય, કે વિદાય વસમી લાગતી હોય છે. તો ત્યાં ઊભેલા સહુ રડતા હોય છે. અરે કોઈ અજાણ્યો ત્યાંથી પસાર થતો હોય અને બે ઘડી ખાલી જોવા ઊભો રહી ગયો હોય તો તે પણ ભાવુક બની જતો હોય છે. આપણે આપણી લાગણીઓ, ભાવનાઓ વહેંચતા હોઈએ છીએ અને એનાથી અસર પણ પામતા હોઈએ છીએ. આપણી લાગણીઓ સીધેસીધી વાતો દ્વારા, ફોન પર વાતો કરીને, ઇ-મેલ કરીને, ફેસબુક અને ટ્વિટર પર લખીને કે પછી કોઈ પણ શબ્દ વાપર્યા વગર ફેલાવતા હોઈએ છીએ. અને તેનો પ્રભાવ પણ પડતો હોય છે. કોઈ આપણી સામે હસે તો આપણે તરત અનુકરણ કરીને સામું હાસ્ય ફેંકીએ છીએ. કોઈ રડતું હોય તો ભલે રડીએ નહિ પણ થોડી ઉદાસી તો આવી જ જાય છે અને એને મદદરૂપ થવાની ઇચ્છા જાગે છે.

નાના બાળકોમાં આ ચેપ અટકાવી શકાય તેવો હોતો નથી. અમે બે વર્ષથી વધુ ઉંમરના બાળકોનું પ્લે સેન્ટર ચલાવતા હતા ત્યારે મને અનુભવ છે કે એક બાળક રડવા માંડે તો એક પછી એક બધા રડવા લાગે. શું આવો લાગણીઓનો ચેપ લાગવો ફાયદાકારક હોય છે ?

આ લાગણીઓના ચેપનું વલણ મુખ્યત્વે બીજી વ્યક્તિના ભાવ પ્રદર્શન અને ભાવભંગિમાંની અજાણતાં કે અચેતન રૂપે નકલ કરી ભાવનાત્મક રીતે તેની નજીક જવાનું હોય છે. વિકાસના ક્રમ તરીકે મૂલવીએ તો આ ચેપ સર્વાઇવલ માટે જરૂરી હોય છે. દાખલા તરીકે મૅમલ સમૂહમાં રહેવા ટેવાયેલા હોય છે. ત્યાં કોઈ હુમલાખોર આવે તો ભયની લાગણી ફક્ત એક નહિ પણ આખા સમૂહમાં ફેલાઈ જતી હોય છે, અને પછી આખું ટોળું ભાગી જઈને બચી જતું હોય છે. સિંહ એક હરણની પાછળ પડ્યો હોય તો ફક્ત એકને જ ભય લાગે તો તે ભાગી જાય અને બીજામાં આ ભયની લાગણીનો ચેપ ફેલાય નહિ તો બીજા ઉભા રહે તો મર્યા સમજો.

આમ સમૂહમાં એકને ભય લાગે તો એનો ચેપ બધામાં ફેલાઈ જતો હોય છે જે સમૂહના સર્વાઇવલ માટે અત્યંત જરૂરી છે. શિકાગો યુનિવર્સિટીમાં કરેલા રિસર્ચ પ્રમાણે સંશોધકોએ જોયું કે એક ઉંદર તણાવમાં હોય તો એને જોઇને બીજા ઉંદર પણ તણાવમાં આવી જતા હતા. એક ઉંદરને પીડા થતી હોય તે જોઇને બીજા પણ એવી જ પીડા અનુભવતા હતા. જ્યારે કોઈના દુખ કે પીડા પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ થાય ત્યારે આપણે તેની પીડાનો અનુભવ કરતા હોઈએ છીએ. એના પ્રત્યે તાદાત્મ્ય અનુભવતા હોઈએ છીએ.

આમ લાગણીઓનો ચેપ ખરેખર માનવજાતની સેવા કરતો આવ્યો છે. આપણાં પૂર્વજો ભાષા શીખ્યા હશે તે પહેલા સર્વાઇવલ માટે આ ચેપ એમની ખૂબ મદદ કરતો હશે. મૂળભૂત મૅમલ બ્રેન લિમ્બિક સિસ્ટમનું આ મેકનિઝમ અદ્ભુત છે જેને મનોવૈજ્ઞાનિકો માસ સાઇકૉલોજી કે મોબ સાઇકૉલોજી કે ટોળાની માનસિકતા તરીકે પણ વર્ણવતા હોય છે. આમ હકારાત્મક લાગણીઓનો ચેપ લાગે ત્યાં સુધી તો બરોબર છે. પણ સર્વાઇવલ માટે હાલની પરિસ્થિતિ મુજબ જરૂરી નાં હોય છતાં નકારાત્મક લાગણીઓનો ચેપ જ્યારે આખા સમૂહ કે દેશ કે રાજ્ય કે ગામ કે શહેરોને લાગી જાય છે ત્યારે સામૂહિક હત્યાકાંડો સર્જાય છે અને તેમાં લાખો હજારો નિર્દોષ માર્યા જાય છે.

કુદરતે માનવજાતને બીજા પ્રાણીઓ કરતા બહુ મોટું મનન ચિંતન કરી શકે તેવું કૉર્ટેક્સ આપ્યું છે. લિમ્બિક સિસ્ટમતો બધા સસ્તન પ્રાણીઓ પાસે છે. પણ કૉર્ટેક્સની સાઇઝમાં ફેર હોય છે. આમ સૌથી મોટું બ્રેન વિકાસના ક્રમમાં આપણને મળ્યું હોય ત્યારે એનો પણ ઉપયોગ કરવો જરૂરી છે. પણ આપણે કાયમ ભાવનાઓના પૂરમાં તણાઈ જતા હોઈએ છીએ, તાવ ચડી જતો હોય છે. ક્રિકેટ ફીવર, નિર્મળ બાબા ફીવર આવા તો અનેક જાતના તાવ ચડી જતા હોય છે. અમુક લોકો આ તાવ ચડાવી દેવાના નિષ્ણાત હોય છે અને લોકો પાસે એમનું ધાર્યું કરાવી લેતા હોય છે. આમ આ સામૂહિક સર્વાઇવલ માટે વિકસેલું મેકનિઝમ સમૂહના નુકશાનનું કારણ બને છે.

પ્રેમ, કરુણા, મૈત્રી, ખુશી, સહકાર અને સદ્ભાવ જેવી પૉઝિટિવ લાગણીઓનો ચેપ લાગે અને ફેલાય તો સમૂહ કે સમાજ માટે ફાયદાકારક બને છે. દુખ, વેર, ક્રોધ, હતાશા જેવી નેગેટિવ લાગણીઓનો ચેપ સ્વાભાવિક સમાજ માટે નુકશાન કારક જ હોય. આપણે આનંદિત હોઈએ તો આજુબાજુ બધાને આનંદિત કરી મૂકીએ છીએ. દુખીકે ઉદાસ હોઈએ તો આજુબાજુ બધાને દુખી કે ઉદાસ કરી મૂકીએ છીએ.

આમ સુખ વહેંચવાથી, આનંદ વહેંચવાથી સુખ આનંદ વધે છે, અને દુખ વહેંચવાથી દુખ વધે છે. જોકે દુખ વહેંચવાથી આપણાં દુખે દુખી થનારની સહાનુભૂતિ મળી જાય તેટલો દીલાસાજનક ફાયદો જણાતો હોય છે. ચાલો હું એકલો દુખી નથી બીજા પણ મારા જેવા છે. સર્વાવલ માટે આપણું દુખ કે આપણી તકલીફ બીજાને જણાવવામાં કોઈ વાંધો નથી, ફક્ત ખોટી સહાનુભૂતિ મેળવવાની ટેવ ના પડી જાય તેટલી તકેદારી રાખવી જરૂરી છે.

Read more about EMOTIONAL CONTAGION here…

શું ભારતીય લોકો વધુ સામાજિક છે?

શું ભારતીય લોકો વધુ સામાજિક છે?

Indians in Elder Park
Indians in Elder Park (Photo credit: mikecogh)

શું ભારતીય લોકો વધુ સામાજિક છે?

          જ્યારે જ્યારે ભારતમાં રહેતા મિત્રો સાથે વાતો થાય કે સંવાદ થાય કે પછી ફોન પર વાતો થાય કે ઑન લાઇન વાતો થાય ત્યારે એવું ચર્ચાતું હોય છે કે ભારતમાં સોશિઅલ લાઇફ જેવું વધુ હોય છે જ્યારે અમેરિકામાં સોશિઅલ લાઇફ જેવું ઓછું હોય છે. અથવા તો સોશિઅલ લાઇફ જેવું કઈ હોતું નથી. અમેરિકામાં રહેતા ભારતીયો પણ આવું જ માનતા હોય છે. ઍવરિજ ભારતીયના મુખે એવું સંભાળવા મળવાનું કે અમેરિકામાં કલ્ચર જેવું કઈ છે નહિ. કલ્ચર તો આપણું ભારતનું જ. અમેરિકન સમાજ એટલે પશ્ચિમનો સમાજ સમજવો.

               હમણાં એક મિત્ર સાથે ઑન લાઇન વિડિઓ ચૅટિંગ દ્વારા વાતો થયેલી. તેઓ પોતે ડૉક્ટર છે અને એમની દીકરી અમેરિકામાં છે, દીકરો પણ વિદેશ ભણે છે. એમનું અમેરિકામાં કાયમ આવનજાવન હોય છે. તેઓને બંને જગ્યાએ રહેવાનો અનુભવ છે, એમના મુખે સાંભળ્યું કે અમેરિકામાં જીવન મેકૅનિકલ લાગે, જ્યારે ભારતમાં સામાજિક વધુ લાગે. મહદંશે એમનું કહેવું સાચું છે.

અમેરિકામાં કલ્ચર જેવું કઈ છે નહિ તેવું કહેવું વધારે પડતું છે. અહીં પણ કલ્ચર છે, પણ થોડું અલગ છે. આપણાં કલ્ચર સાથે મૅચ થાય તેવું નથી માટે એવું લાગે કે કલ્ચર જેવું કઈ છે નહિ. બાકી એમની રીતે આ લોકો એમના કલ્ચરમાં જીવે જ છે અને ખૂબ મજાથી જીવે છે. કદાચ આ લોકોને આપણાં કલ્ચરમાં કોઈ દમ લાગતો નહિ હોય. આપણાં કલ્ચરના રીતરિવાજો જોઈ જાણી આ લોકોને પણ ઘણું હસવા જેવું અને નવાઈ જેવું લાગતું હોય છે. દરેક કલ્ચરમાં ખામીઓ સાથે ખૂબીઓ પણ હોય જ છે. દરેક કલ્ચરમાં સારું ખોટું હોય જ છે. એવું પણ હોય કે આપણને ખોટું લાગતું હોય તે બીજા કલ્ચર માટે સારું ગણાતું હોય.

પશ્ચિમનું કલ્ચર પ્રાઇવસિમાં માનતું વધારે છે. સામાજિક ગઠબંધન ઓછું હોય તેવું લાગતું હોય છે. એના ઘણા બધા કારણો હોઈ શકે. લગભગ અહીં વસતા કે ભારતમાં વસતા મોટાભાગના ભારતીયોના મુખે સાંભળ્યા પછી કે ભારતમાં લોકો સામાજિક વધુ હોય છે અને અહીં ઓછા ત્યારે વિચાર કરવા મજબૂર થઈ જવાયું.

આમ મોટાભાગે આપણે ભારતના લોકો માનતા હોઈએ છીએ કે આપણે દુનિયાના લોકો કરતા વધુ સામાજિક છીએ. એટલે ઘણીવાર પ્રશ્ન થાય કે સાચે જ ભારતના લોકો વધુ સામાજિક છે ? જો જવાબ ‘હા’ હોય તો, શા માટે આપણે વધુ સામાજિક છીએ ? સામાજિક હોવા પાછળનું મુખ્ય કારણ જે તે પ્રદેશનું ભૌગોલિક કારણ જવાબદાર હોય છે. હવામાન પ્રમાણે રહેણીકરણી કે જીવન પદ્ધતિ બનતી હોય છે. એટલે કે જેવી કાર્યપદ્ધતિ હોય તે પ્રમાણમાં સામાજિક માળખું તૈયાર થાય.

ભારતની ભૌગોલિક પરિસ્થિતિને આધારે જોઈએ તો ભારત કૃષિપ્રધાન દેશ છે. સૌથી પહેલા સમાજની રચના નાના નાના સમૂહો દ્વારા થઈ અને સમૂહના લોકો સાથે મળી ખેતી કરતા. પછીથી તે ખેતી દરેક કુટુંબ પ્રમાણે થવા લાગી. ખેતીની સાથે પશુ પાલન પણ જરૂરી બન્યું. ખેતી તથા પશુપાલન માટે કુટુંબના દરેક સભ્ય હળીમળીને કામ કરતા. તેથી કુટુંબ વ્યવસ્થા વધુ મજબૂત બની. ભારતમાં કુટુંબવ્યવસ્થા પણ વિશાળ છે. એટલે કે સંબંધોની વિશાળતા છે. જેમ કે કાકા, મામા, માસી, ફોઈ, માતાના અને પિતાના સગા તે સાથે નજીકના અને દૂરનાં અને આ બધા સાથે સામાજિક જોડાણ પણ રહે તેવી સામાજિક મેળાવડા અને ઉત્સવોની પરંપરા વધુ વિકસી છે.

ખેતીપ્રધાન સમાજ હોય ત્યાં સામાજિક ગઠબંધન વધુ હોય તે સ્વાભાવિક છે. ખેતીમાં એકબીજાનો સહકાર વધુ જોઈએ. ખેતીપ્રધાન સમાજમાં સંયુક્ત કુટુંબ હોય તો વધુ મદદ મળે. ખેતીકામ જ એવું હોય છે કે એકલાં માણસનું કામ નહિ. જેમ જેમ ભારતમાં ઉદ્યોગ ધંધાઓ વધવા લાગ્યા તેમ તેમ કુટુંબો વિભક્ત થવા લાગ્યા છે. એમાં કશું ખોટું પણ નથી. સંયુક્ત કુટુંબના ઘણા બધા ફાયદા હોય છે, પણ વ્યક્તિગત સ્વતંત્રતા ઓછી હોય, પ્રાઇવસિ ઓછી મળે. ઘણીવાર નોકરી ધંધા માટે મજબૂરી હોય છે બહાર નીકળવું પડતું હોય છે. આમ સંયુક્ત કુટુંબ ઓછા થતા જવાના.

અમેરિકન સમાજ પ્રાઇવસિમાં ખૂબ માનતો હોવાથી સંયુક્ત કુટુંબ ઓછા હોય છે. પણ હવે આ લોકોને સંયુક્ત કુટુંબ એટલે મલ્ટીજનરેસ્નલ એટલે કે દાદા દાદી સાથેના કુટુંબોની મહત્તા સમજાવા લાગી છે. હાલનાં એક સર્વે પ્રમાણે અમેરિકામાં ૪ મિલ્યન એટલે ૪૦ લાખ ફેમિલી એવા છે જેમાં દાદાદાદી, પુત્ર, પૌત્રાદી સાથે રહે છે.

ભારતમાં મુખ્ય ત્રણ ઋતુઓ અને તેની પેટા ઋતુઓ પણ ત્રણ એમ છ ઋતુઓનો લાભ મળે છે. આ કારણ પણ થોડે ઘણે અંશે જવાબદાર ગણી શકાય. આવી અલગ અલગ ઋતુઓના કારણે જ ખેતી મુખ્ય વ્યવસાય તરીકે છે. દરેક ઋતુમાં સમાજ કાર્યરત પણ રહે. અને વચ્ચે મળતા સમયમાં ઉત્સવપ્રિય પણ રહી શકે. ભારતની જૂની જીવનપદ્ધતિ જોતા લાગશે કે અમુક સમયગાળો જ ઉત્સવોનો રહેતો જ્યારે ખેતીના કાર્યો ઓછા હોય ત્યારે જ. એટલે આમ જોતા ખૂબ જ મહેનત કર્યાં પછી નવરાશના સમયમાં મેળા, ઉત્સવો, સામાજિક પ્રસંગોના આયોજન થતા. આમ સામાજિક ગઠબંધન મજબૂત થતું.

પશ્ચિમમાં શિયાળો ખૂબ લાંબો છે. મુખ્ય બે જ ઋતુઓ છે, ઉનાળો અને શિયાળો. અહીં વરસાદ ગમે ત્યારે આવી જાય. સ્પેશલ ચોમાસું ફક્ત ભારતીય ઉપમહાખંડમાં જ છે. ઔદ્યોગિક ક્રાંતિ પશ્ચિમમાં પહેલી થઈ. નોકરીઓનું મહત્વ વધવા લાગ્યું તો સંયુક્ત કુટુંબની જરૂર ખાસ રહી નહિ. એકબીજાના સહકારની ખાસ જરૂર રહી નહિ. જેમ જેમ પ્રજા સ્વાવલંબી થતી જાય તેમ તેમ સ્વાર્થી પણ બનતી જવાની. જેમ પ્રજા પરાવલંબી તેમ સામાજિક વધુ રહેવાની. પરસ્પર સહકારની વધુ જરૂર હોય ત્યાં સામાજિક સંબંધો સારા રાખવા જ પડે છૂટકો નથી હોતો. જેમ પ્રજા પરસ્પર અવલંબી તેમ સામાજિક વધુ રહેવાની.

ઉત્ક્રાંતિવાદ પ્રમાણે જોઈએ તો મૅમલ સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલા છે તે મુજબ માનવ સામાજિક પ્રાણી છે. એટલે ગમે તેવી પરિસ્થિતિ હોય માનવ વધતે ઓછે અંશે સામાજિક તો રહેવાનો જ છે, ભલે પછી ભારતનો હોય કે પશ્ચિમનો. જો ખેતી કરતો હશે તો તેવા સમાજમાં રહેવાનો, જો નોકરી કરતો હશે તો એવું સર્કલ ઊભું કરશે. ઉદ્યોગપતિ હશે તો એના જેવા બીજા લોકો સાથે હરીફાઈ સાથે સામાજિક સંબંધો તો રાખશે જ. જ્યાં માણસ હશે ત્યાં હરીફાઈ અને સહકાર બંને સાથે રહેવાના.

એક બીજું કારણ એવું પણ છે કે જ્યાં સર્વાવલ માટે પરિસ્થિતિ નાજુક હોય ત્યાં સામાજિક ગઠબંધન વધુ રહેવાનું. એટલે જ્યારે લોકો પાસે પૈસો વધતો જાય છે ત્યારે લોકો વધુ સ્વાર્થી બનતા જતા હોય છે. કે હવે બીજા લોકોનો સહકાર ઓછો હશે તો ચાલશે, પૈસો છે બધું ખરીદી શકાય છે. પહેલા ગામડાઓમાં લગ્ન હોય એટલે બધી વ્યવસ્થા જાતે કરવી પડતી. બધી જરૂરી વસ્તુઓ આજુબાજુથી કે ગામમાંથી ઉઘરાવવી પડતી. મહિનાઓથી તૈયારી કરવી પડતી. એમ સામાજિક સંબંધો જળવાઈ રહેતા. આજે બધી સગવડ વેચાતી મળે છે. ખાલી ખીસા ભરેલા જોઈએ. એમ બીજા કોઈ પર બહુ આધાર રાખવો પડે નહિ.

હવે તમે શહેરમાં રહેતા હો તો ફક્ત બે દિવસમાં લગ્નપ્રસંગ ઊભો કરી શકો છો. મને યાદ છે અને મેં જોએલું છે લગ્ન પ્રસંગ હોય તો મહીના પહેલા દરજી ઘેર બેસાડતા. દરજીભાઈ એમનું મશીન લઈને જ આવી જતા. આખો દિવસ સીવ્યા કરતા. આજની પેઢીના યુવાનો માની પણ નહિ શકે આ વાત. હવે આજે દરજીની જ જરૂર રહી નથી. બધા કપડા રેડીમેડ મળી જાય છે.

આમ જેમ સુખ સગવડ વધતી જવાની, બધું પૈસાથી ખરીદી શકાય તેવું બનવા લાગે તેમ એકબીજાના સહકારની જરૂર બહુ રહે નહિ તેમ લોકો સ્વલક્ષી બનતા જવાના. લોકો એકલપટા થતા જવાના. ગામડાં કરતા શહેરના લોકો વધુ સ્વલક્ષી નથી લાગતા ? અમેરિકન લોકો સ્વકેન્દ્રી વધુ લાગે છે તેનું કારણ આ જ છે. અહીં કોઈના ઉપર આધાર રાખવો પડતો નથી. અહીંની વ્યવસ્થા જ એવી છે કે કોઈના ઉપર બહુ આધાર રાખવો પડે નહિ. તો પછી સામાજિક સહકારની જ્યાં બહુ જરૂર ના હોય તો આ સમાજ સામાજિક ઓછો લાગે તેમાં નવાઈ શું?

જ્યારે લોકો પાસે સંપદા ઓછી હોય, રિસોઅર્સ ઓછા હોય ત્યારે સર્વાઇવલ માટે પરિસ્થિતિ નાજુક હોય છે. આમ જ્યારે રિસોઅર્સ ઓછા હોય અથવા બીજા કોઈ કારણસર પોતાનું રક્ષણ કરવા પ્રજા અસમર્થ હોય ત્યારે લોકો એમના સામાજિક જોડાણ પ્રત્યે વધુ આધાર રાખતા થઈ જતા હોય છે. ભલે લોહીનો નાતો ના હોય પણ વિશ્વાસ, કરુણા, સહભાવ, સદભાવ, સહાનુભૂતિ દ્વારા વિશિષ્ટ સંબંધો બનાવી એક સામૂહિક સર્વાઇવલની પદ્ધતિ અખત્યાર કરતા હોય છે. આમ જે લોકો પાસે લિમિટેડ રિસોઅર્સિસ હોય છે તે લોકો જુદી સ્ટ્રેટેજી પસંદ કરતા હોય છે, આ લોકો તેમના લિમિટેડ રિસોઅર્સિસ બીજા લોકોને વહેંચતા માલૂમ પડ્યા છે.

આમ ઓછી સંપદા સ્વાર્થ અને લોભને ઓછી કરે છે.જ્યારે પૈસો અને સંપદા ખૂબ વધી જાય ત્યારે તેવા લોકોની નજર બીજા પ્રત્યેથી હટી જાય છે. હવે બીજાની જરૂર ખાસ રહી નથી. આમ એમની બીજા પ્રત્યેથી લાગણી પણ ઓછી થઈ જતી હોય છે. હવે એની પાસે ખૂબ સંપત્તિ છે હવે બીજાનું શું કામ ? આમ આ લોકો સંપત્તિ ઉપર વધુ આધાર રાખતા હોય છે સિવાય લોકો પર.

અમેરિકામાં જુઓ તો દરેક પાસે લગભગ કાર હોય છે. હાલ અહીં મંદી ચાલી રહી છે. ટીવીમાં જાતજાતના સર્વે આવતા હોય છે. ટીવીમાં એવું પણ સાંભળ્યું કે અહીં ગરીબીરેખા નીચે જીવતા લોકો પાસે પણ ફ્રિઝ, ટીવી, કાર જેવા સાધનો હોય છે. લગભગ બધું કામ ઑન લાઇન પતી જતું હોય છે. કોઈ તકલીફ હોય તો ટેલિફોન હાથમાં લો ૯૧૧ દબાવો પાંચ દસ મીનીટમાં પોલીસ હાજર. જરૂર લાગે તો સાથે ઍમ્બ્યુલન્સ પણ આવી જાય. બાજુની દીવાલે રહેતા પાડોશીની પણ જરૂર રહે નહિ, તો પાડોશીને પણ કોણ ઓળખે ? આમ વધુ પડતી સુખ સગવડ માણસને એકલપટો બનાવી દે તેમાં નવાઈ નહિ. આવા એકલવાયા સમાજના ગેરલાભ પણ હોય છે. લોકો મશીન જેવા થઈ જતા હોય છે. પરિસ્થિતિ વિષમ હોય ત્યાં લોકો સામાજિક વધુ હોય.

એટલે પેલાં સંબંધી કહેતા હતા તે સાચું છે કે અહીં જીવન યાંત્રિક વધુ લાગે. યાંત્રિક જીવન હોય ત્યાં તણાવ વધુ હોય. ભારતમાં આ બાબતે તણાવ ઓછો લાગે. ભારતના સમાજિક હોવાના ફાયદા વિષે એક વાત લખું. અમેરિકા રહેતા એક મિત્ર સાથે મેડિસિન બાબતે વાર્તાલાપ થયેલ. એ મિત્ર વર્ષો સુધી ભારતમાં રહેલા. આરામદાયક જિંદગી હતી. પેઢી પર બેસી નોકરો સાથે કામ લેતા. અમેરિકામાં હંમેશાં લોકો પોતાની પાસે પેએન કિલર રાખતા હોય છે નાની મોટી બીમારીમાં પેએન કિલર લઈ લે. તે મિત્ર કહે કે ભારતમાં હતા ત્યારે પોતાના વ્યવસાયમાં ૧૪-૧૫ કલાક કામ કરતા માણસો સાથે કામ લેવાનું હોય તેમાં અને માણસ ના આવે તો જાતે કામ કરવાનું છતાં ક્યારેય સ્ટ્રેસ કે થાક ના લાગતો. કારણ દિવસ દરમ્યાન આસપાસમાં લોકોને મળતા રહેવાનું. એકબીજાની સાથે વાતો કરવાથી મન હળવાશ અનુભવતું. ઘરે  જઈને કુટુંબ સાથે બેસીને વાતો કરતા રાત્રે મિત્રોને મળીએ. આ બધામાં સ્ટ્રેસ રહે નહીં. જ્યારે અમેરિકામાં ૯ થી ૫.૩૦ ની જોબ માં ૪.૩૦ થી ઘડિયાળ જોવાનું ચાલુ થઈ જાય. જો શિફ્ટ જોબ હોય તો પછીની શિફ્ટનો કર્મચારી ના આવે ત્યાં સુધીમાં તો સ્ટ્રેસ શરુ થઈ જાય.

દસ પંદર હજાર વર્ષ પહેલા આખી દુનિયાના તમામ સમાજો હન્ટર-ગેધરર હતા. આવા સમાજો હાલ પણ છે. અહીં પુરુષો શિકાર કરવા જાય અને સ્ત્રીઓ ખોરાક જેવાકે ફળફળાદિ, કંદમૂળ, ખાવાલાયક અને ઔષધ માટે વપરાય તેવા લીલા શાકભાજી એકઠા કરે. આવા સમાજોમાં સ્ત્રી પુરુષનું સ્થાન સરખું હતું અને છે. સ્ત્રી પુરુષ કરતા અહીં કમજોર ગણવામાં નહોતી આવતી. સંશોધકોનું માનવું છે કે ખેતી શરુ થઈ અને શારીરિક બળની જરૂર વધુ પડવા લાગી. આમ પુરુષનું મહત્વ વધવા લાગ્યું. ધીમે ધીમે સ્ત્રી પુરુષ આધારિત વધુ બનવા લાગી. જ્યાં જીવન બીજા પર આધારિત હોય ત્યાં સહકાર સ્વયંભુ સ્થપાઈ જતો હોય છે. પશ્ચિમની સ્ત્રીઓ કમાતીધમાતી થઈ ગઈ છે તો સ્ત્રીઓ પુરુષો પર આધારિત નથી. જરા વાંકું પડ્યું કે છુટા.

આપણે ત્યાં હવે ડિવોર્સનાં પ્રમાણ વધવા માંડ્યા છે તેનું મુખ્ય કારણ સ્ત્રીઓ કમાતી થઈ ગઈ છે તે પણ હોઈ શકે. પશ્ચિમની નકલ કે આંધળું અનુકરણ કરતા હોઈએ એવું સાવ નથી. આપણે ખોટી બુમો પાડતા હોઈએ એવું લાગે છે. મૂળ કારણ છે ભારતમાં સ્ત્રી હવે સ્વતંત્ર બનવા લાગી છે કે કમાણી કરવા લાગી છે. હવે તેને પુરુષ પર સંપૂર્ણ આધાર રાખવો પડતો નથી. હવે એને એનું સ્વમાન યાદ આવવાનું જ છે.

આપણા ગ્રામ્યજીવન અને શહેરીજીવન વિષે ધ્યાનથી જોશો તો પણ ભેદ સમજી જવાશે. જે લોકો ભારતમાં એકબીજા પ્રત્યે ખૂબ સામાજિક લાગતા હોય તે લોકો પણ અહીં આવીને એકબીજા પ્રત્યે જરૂર પૂરતો સંબંધ રાખતા થઈ જતા હોય છે એમાં કોઈનો દોષ કાઢવો નકામો છે. આમ ભારતમાં પ્રેમભાવ, સદભાવ, સહકાર વધુ છે. લોકો સામાજિક વધુ છે. જ્યારે પશ્ચિમનો સમાજ ઓછો સામાજિક લાગે છે તે પણ સ્વાભાવિક છે. અમેરિકામાં કલ્ચર જેવું કશું નથી તેવું કહેવું પણ વધુ પડતું છે.

By:- M.B.Bhojak & B.R.Raol- April 2, 2012.

સ્વતંત્રતા શીખવાની-૪ Hard Truths About Human Nature.

સ્વતંત્રતા શીખવાની-૪ Hard Truths About Human Nature.

મને લાગે છે ધર્મોના ઉદભવ પછી, ધર્મોનો વ્યાપ વધે તે માટે તેમના નીતિનિયમો, માન્યતાઓ વગેરેનું  શિક્ષણ આપવાનાં પ્રયત્નમાં શિક્ષણ સંસ્થાઓ અસ્તિત્વમાં આવી હોવી જોઈએ. બાકી લાખો વર્ષ લગી ગુરુકુળ, સ્કૂલ, વિદ્યાપીઠ, કૉલેજ કે યુનિવર્સિટી વગર સમાજ ચાલતો હતો અને ઉત્તરોત્તર પ્રગતિ પણ કરતો જ હતો. નાલંદા આવી જ એક બૌદ્ધ યુનિવર્સિટી હતી, જેમાં બૌદ્ધ ધર્મનું શિક્ષણ મેળવવા લોકો દૂર દૂરથી આવતા હતા. મદરેસાઓ પણ આમ જ શરુ થઈ હોવી જોઈએ. તેમ પશ્ચિમમાં ચર્ચ લોકોને સુધારવા સ્કૂલો શરુ કરવા લાગ્યું હશે. બાકી કળા, કારીગરી, કૌશલ તો લોકો પેઢી દર પેઢી વડીલો પાસેથી સ્કૂલ કૉલેજમાં ગયા વગર શીખી જતા હતા.

મોટામસ ભવ્ય રાજમહેલો, કિલ્લાઓ, મીનાક્ષી મંદિર, ચીનની દીવાલ,  ખાજુરાહો અને અંગકોરવાટ જેવા બેજોડ મંદિરો, પીરામીડો  કયા IIT કે MIT માં ભણેલા એન્જિનિઅરોએ બનાવેલા ? અંગ્રેજો આખી દુનિયામાં ફેલાયા અને આખી દુનિયામાં સ્કૂલો ફેલાઈ ગઈ. હવે તો સ્કૂલ કૉલેજ વગરની દુનિયા કલ્પવી મુશ્કેલ છે.

પરિવર્તન અને પ્રગતિના માર્ગમાં પાછાં ફરવાનો કોઈ રસ્તો હોતો નથી. અને જઈએ તો યોગ્ય પણ ના કહેવાય. ફરી પાછાં આપણે હન્ટર-ગેધરર બની જવાના નથી. સ્કૂલ કૉલેજોનો નાશ પણ કરી શકાય નહિ. હવે દરજીનો દીકરો દરજી જ બને કે લુહારનો દીકરો લુહાર બને તેવું રહ્યું નથી. એક સુથારનો દીકરો દુનિયાની મોટી ગણાતી ટેલીકૉમ કંપનીનો સર્વોચ્ચ વડો પણ બની શકે છે. અને તે ગર્વ લેવા જેવી બાબત છે. આમ સ્કૂલ કૉલેજને ઉવેખી શકીએ તેમ પણ નથી. છતાં આપણે હન્ટર ગેધરર સમાજના ડહાપણ અપનાવી બહેતર સમાજ કે બહેતર  શિક્ષણ વ્યવસ્થા બનાવી શકીએ તેમ છીએ. બાળકો આપણે શીખવીએ તો જ શીખે તે વાત ભૂલી જવી જોઈએ. બાળકો એમના કામનું શીખી જ લેતા હોય છે તેવી કુદરતની લાખો વર્ષ જૂની ડિઝાઇન છે.  છ મહિનાના બાળકથી નિરીક્ષણ ચાલુ કરો, જુઓ તમને શું શું જોવા મળે છે.

થોડા દિવસનું બાળક પણ નવી વસ્તુ તરફ પહેલું જુએ છે. છ મહિનાનું બાળક દરેક આસપાસની વસ્તુને સમજવાનો વૈજ્ઞાનિક અભિગમ રાખતું હોય છે. વસ્તુને દબાવશે, પકડશે, ઉલટસુલટ કરશે, નીચે નાખશે, ઊચકશે, ફરી નીચે નાખશે, ચાખશે, એક વૈજ્ઞાનિકને કામ પર જુઓ અને એક બાળકનું નિરીક્ષણ કરો બંનેમાં સામ્ય દેખાશે. અરે આસપાસના લોકોની બેસિક સાઇકૉલોજી પણ બાળક સમજતું થઈ જતું હોય છે કે આ ડાહ્યાંને કઈ રીતે ખુશ રાખવા. એના પછી ભાષાકીય જ્ઞાન તરફ આગળ વધો તો કોઈ નવી ભાષા શીખવાનો પ્રયત્ન કરતા એક પુખ્ત માણસને આંખે પાણી આવે છે. હજારો શબ્દો, અસંખ્ય વ્યાકરણના નિયમો બાળક રમતમાં શીખી જતું હોય છે. અરે દ્વિભાષી પરિવાર કે વાતાવરણ હોય તો બાળક બે ભાષાઓ પણ શીખી લેતું હોય છે. ચાર વર્ષનું બાળક એની માતૃભાષામાં માહેર હોય છે. બે થી સત્તર વર્ષ સુધીમાં એક બાળક ૬૦,૦૦૦ શબ્દો શીખી લેતું હોય છે.

ફિઝિકલ ગણીએ તો સૌથી પહેલું મહત્વનું કામ બાળક શીખતું હોય તો તે છે બે પગે ઉભા થઈને ચાલવાનું. આપણે ચોપગાં પશુઓમાંથી ઉત્ક્રાંતિ પામ્યા છીએ. માટે બાળક જન્મે તેવું તરત બે પગે ચાલી શકતું નથી. બે પગે ચાલવાનું શીખવા માટે તેને અપાર મહેનત કરવી પડે છે. આશરે ૭૦ લાખ વર્ષો પહેલા આપણાં અને ચિમ્પૅન્ઝીના પૂર્વજો કૉમન હતા. લગભગ ૪૦ લાખ વર્ષ પહેલા આપણાં કોઈ પૂર્વજ ‘કપિનર’ Australopithecus afarensisની ઍન્કલની ડિઝાઇન થોડી બદલાઈ અને બે પગે ચાલવામાં સરળતા આવવા લાગી.આ પવિત્ર ઘટના આફ્રિકાના સવાના પ્રદેશમાં બનેલી. આખી માનવજાત માટે આ પવિત્ર સ્થળ ગણાવું જોઈએ.

ઇવલૂશનનાં ઇતિહાસમાં આ અદ્ભુત પરિવર્તન હતું. આમ બે પગે ચાલવું આપણે હજુ પણ શીખવું પડે છે. બાળક ચાલવાનું પુરજોશમાં શીખતું હોય ત્યારે એવરેજ રોજના છ કલાક ચાલતું હોય છે અને ૯૦૦૦ ડગલા ભરતું હોય છે, જેની લંબાઈ ૨૯ ફૂટબોલના મેદાન જેટલી થાય (Adolph et al., 2003, Child Development, 74, 475 -497).  બાળક ઊભું થાય છે, ચાલે છે, પડે છે, દોડે છે, કુદકા મારે છે, ચડે છે આમ કસરત ચાલુ જ હોય છે.

આજે પણ ઘણા માબાપ બાળકોને સ્કૂલમાં મૂકતાં નથી ઘેર શિક્ષણ આપે છે. હમણાં કોઈ મિત્રે આવા દાખલા ફેસબુક પર મૂક્યા પણ હતા. આવા “non-school schools” વડે શિક્ષણ પામેલા બાળકો સફળતા પામી ચૂકેલાં છે. શિક્ષણ હવે એક કૉર્પરટ બિઝિનસ બની ગયો છે. એક બે વર્ષના બાળકને પણ નર્સરી અને કે.જી. માં અડ્મિશન માટે તૈયાર થવું પડતું હોય છે, એના ઇન્ટરવ્યૂ લેવાય છે, આના જેવી મોટી બીજી કઈ કરુણતા હોય ?  મારા શ્રીમતી વડોદરામાં ઘરમાં આવું પ્લે સેન્ટર ચલાવતા હતા જેમાં બાળકોને તૈયાર કરવામાં આવતા કે જેથી કે.જી.માં લેવાતા ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જાય અને અડ્મિશન મળી જાય.  આવા ત્રીસેક બે વર્ષના ભૂલકાઓ જોડે હું ખૂબ મસ્તી કરતો. ત્રણચાર કલાક ઘરમાં ધમાલ મચી જતી.

“Adults do not control children’s education; children educate themselves.”

આ વિચારધારા સાથે શરુ થયેલી છેલ્લા ૪૦ વર્ષથી અમેરિકાના શૈક્ષણિક જગતનું best-kept secret રહેલી, ૧૦ એકર જમીનમાં Victorian mansion ધરાવતી The Sudbury Valley School, Framingham, Massachusetts , એક સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલતી બેનમુન સ્કૂલ છે. ચાર વર્ષના બાળકોથી પ્રવેશ શરુ થાય છે. હાઈસ્કૂલ એડ્યુકેશન સાથે અભ્યાસ પૂર્ણ થાય છે. અહી ના કોઈ ટેસ્ટ છે, ના કોઈ પરીક્ષા, ના કોઈ ગોલ્ડ સ્ટાર, પાસનાપાસ થવાની કોઈ ચિંતા નહિ, કોઈ ફરજિયાત કોર્સના બંધન નહિ, કોઈ અપેક્ષા નહિ, કોઈ જબરદસ્તી નહિ, કોઈ અવૉર્ડ નહિ, કોઈ રિવૉર્ડ નહિ, કોઈ ખુશામત પણ નહિ.

અહી ૨૦૦ વિદ્યાર્થીઓ વચ્ચે ૧૦ જણાનો ફૂલ ટાઈમ સ્ટાફ છે, પણ આ કોઈ શિક્ષક જેવા નથી. આ બધા બાળકો માટે કાકા, કાકી, માસા, માસી જેવા લાગે, એમના ખોળામાં બેસી જવાય, ખભે ચડી મસ્તી કરી શકાય, એમની આગળ રડી પણ શકાય. અહી નાનામોટા દરેક બાળકનો સરખો વોટ છે. બધા બાળકોની સ્વતંત્રતા સચવાય માટે અહી રૂલ્સ છે. અહીંથી બહાર પડેલા બાળકો ડૉક્ટર, એન્જિનિઅર, વૈજ્ઞાનિક, કલાકાર, લૉયર, સંગીતકાર અને ઉદ્યોગપતિ બનેલા છે.

આ સ્કૂલનો કૉન્સેપ્ટ અમેરિકન શિક્ષણવિદો માટે પચાવવો અઘરો છે. એટલે આ લોકો એને ઇગ્નોર કરે છે, પણ હવે એમાંથી બહાર પડેલા વિદ્યાર્થીઓ દ્વારા એનું રહસ્ય બહાર પડવા લાગ્યું છે અને હાલ આખી દુનિયામાં થઈને આવી બે ડઝન સ્કૂલો સ્થપાઈ ચૂકી છે. આગામી ૫૦ વર્ષોમાં આખી દુનિયાના શિક્ષણવિદોને આની નોંધ લેવી પડશે ને આ કૉન્સેપ્ટ અપનાવવો પડશે.

“Children educate themselves; we don’t have to do it for them.”  આ સૂત્ર પર ચાલતી The Sudbury Valley School અજોડ સ્કૂલ છે. 

સ્વતંત્રતા શીખવાની.-૩ Hard Truths About Human Nature.

સ્વતંત્રતા શીખવાની.-૩ Hard Truths About Human Nature.

સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે ધમ ધમ.

આ જુનું પુરાણું સૂત્ર ભારતનું લાગે છે ને ? મૂળ આ સૂત્ર ભારતનું નથી. આ સૂત્ર પશ્ચિમથી આયાત થયેલું હતું.  હવે તો જોકે વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા મારવાનું બંધ થઈ ગયું છે. અંગ્રેજોના જમાનામાં કારકુન પેદા કરવા ભારતમાં મૅકોલે દ્વારા શિક્ષણ પદ્ધતિ દાખલ કરાઈ ત્યાર પછી આ સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે ધમ ધમ ચાલુ થયેલું. બાકી પ્રાચીન ગુરુકુળ પદ્ધતિમાં શીખવવાની પદ્ધતિ લગભગ હન્ટર-ગેધરર સમાજો જેવી હશે તેવું મને લાગે છે. ગુરુકુળ પદ્ધતિમાં રાજા અને રંક સાથે ભણી શકતા પણ તે બ્રાહ્મણ અને ક્ષત્રિય હોય તો જ..

ગુરુકુળ પદ્ધતિનો ભારતમાં એક મોટો ડ્રૉબેક એ હતો કે તેમાં ઊચ્ચવર્ણનાં બ્રાહ્મણ અને ક્ષત્રિય સિવાય બીજા કોઈને ભણવાનો અધિકાર નહોતો. ક્ષત્રિયોમાં પણ ઉચ્ચ રાજઘરાનાનાં સંતાનો સિવાય કોણ ભણવા જતું હશે ? મૅકોલેની શિક્ષણ પદ્ધતિમાં લાખ દોષો હતા, પણ એનો એક ફાયદો એ થયો કે સમાજના તમામ વર્ગને ભણવા જવાનો ચાન્સ મળ્યો. હજુ આપણે જૂનીપુરાણી મૅકોલે પદ્ધતિમાં કોઈ ખાસ ફેરફાર કર્યો હોય તેમ લાગતું નથી. આપણે જૂનીપુરાણી વસ્તુઓના શોખીન છીએ. એને સંગ્રહી રાખવામાં માહેર છીએ. હવે આ સડેલી મૅકોલે પદ્ધતિમાં સુધારો કરવો જોઈએ.

પશ્ચિમનાં શિક્ષણનાં ઇતિહાસમાં એક સમય એવો હતો કે શીખવવું અને મારવું સમાનાર્થી શબ્દો હતા. બાળકો માટે શીખવવું અને મારવું કે સજા કરવી બધું સરખું જ હતું. મતલબ ટીચિંગ સાથે બીટિંગ જોડાયેલું હતું, અને આ પશ્ચિમનું દૂષણ ભારતમાં અંગ્રેજો સાથે પ્રવેશી ચૂક્યું હતું. ધોતિયાધારી હાથમાં સોટી ધરાવતા શિક્ષકો બાળકો માટે યમદૂત જેવા લાગતાં હશે. ચાલો બાઈબલનાં પ્રૉવર્બ્સ શું કહે છે તે જોઈએ :

• “Do not withhold correction from a child, for if you beat him with a rod, he will not die. You shall beat him with a rod and deliver his soul from hell.” (Proverbs 22:13-14)

• “Foolishness is bound up in the heart of a child, but the rod of correction shall drive it far from him.” (Proverbs 22:15)

• “Blows that hurt cleanse away evil, as do stripes the inner depths of the heart.” (Proverbs 20:30)

• “He that spares his rod hates his son, but he that loves him chastens him.” (Proverbs 13:24)

આમ આજ્ઞાપાલન શીખવવું પડે અને સજા એ શીખવવાનો રાજમાર્ગ હતો. ૧૭, ૧૮  અને ૧૯મી સદી સુધી પશ્ચિમમાં ચર્ચ સ્કૂલો ચલાવતું હતું. આ સ્કૂલો શીખવવાને બદલે સુધાર સ્કૂલો વધુ હતી. બાળકો natural sinner છે તેવી માની લીધેલી ધારણાઓ પર આ સુધાર સ્કૂલો ચાલતી. બાળકોને આજ્ઞાંકિત બનાવી એમના આત્માને બચાવી શુદ્ધ સેવકો બનાવવા માટે ભગવાનનો ડર લાગવો જોઈએ. એમ શિક્ષકોનો પણ ડર લાગવો જોઈએ, પિતાનો પણ ડર લગાવો જોઈએ. એમ જે ઉપરી હોય તે બધાનો ડર લાગવો જોઈએ.

આજે પણ સ્કૂલોમાં પહેલું આજ્ઞાપાલન શીખવવામાં આવે છે અને સજા એ શીખવવાનો મુખ્ય રસ્તો હોય છે. સ્કૂલનાં નિયમો પાળવા પડે. હવે મારવાનું લગભગ બંધ થઈ ગયું છે. એક સજા તો ઓછી થઈ પણ માર્ક્સ આપવાની પદ્ધતિ પ્રાથમિક સખ્તાઈ બની ગઈ છે. ખૂબ ઊંચા માર્ક્સ મેળવવા એજ જીવનની સફળતા છે તેવું દરેકના બાળકોના, વાલીઓના અને શિક્ષકોના મનમાં સમાઈ ગયું છે. અમુક હદથી ઓછા ટકા હોય તો સ્કૂલથી અટકી જવું પડતું હોય છે. કૉલેજમાં જવા માટે તો ખૂબ ઊંચી ટકાવારી જોઈએ. અને જે બાળકો આ ઊંચી ટકાવારી ના મેળવી શકે તેમનું તો જીવનજ અસફળ થઈ ગયું. આમ શિક્ષક દ્વારા માર ખાવા કરતા ઓછા માર્ક્સ આવવા બહુ મોટી સજા બની જતું હોય છે.

ચાર્મી કાયમ ઊંચા માર્ક્સ લાવતી વિદ્યાર્થીની હતી. પરીક્ષકને લાગ્યું કે ચોરી કરે છે લાલ શાહી વડે માઈનસ ૩૦ માર્ક્સ પુરવણીમાં લખી નાખ્યા. હવે બચારી સો માર્કસનું સાચે સાચું લખે તો પણ ૭૦ સમજવાના. અને ૭૦ માર્કસનું સાચું લખે તો ૪૦ સમજવાના. બસ જીવન અસફળ થઈ ગયું, આના બદલે શિક્ષકે બે લાફા મારી લીધા હોત કે અંગૂઠા પકડાવી લીધા હોત તો સારું થાત. આત્મહત્યા કરવા કૂદી પડી અને બચી ગઈ પણ પગ ભાંગી બેઠી.

હમણાં મારા દીકરા હરપાલસિંહ સાથે ચર્ચા કરતા જાણ્યું કે અહીં ન્યુ જર્સીમાં સ્કૂલોમાં નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે ટીચરે વિધાર્થીની નોટબુક કે પેપરમાં લાલશાહી વડે કોઈ રિમાર્ક કરવું નહિ. બ્લ્યુ કે બ્લેક ઇન્ક વડે જ લખવું. કારણ લાલ રંગ આક્રમક હોવાથી બાળકો લાલ શાહી જોઈ વ્યગ્ર થઈ શકે છે. આપણે બાળકોને મારવા કરતા ઓછા વધતા માર્ક્સ આપીને સંતોષ અનુભવીએ પણ માર્ક્સ પદ્ધતિ depression, anger, cynicism વધારે છે.  Any coercive teaching is an act of aggression.

આપણે બાળકો ઉપર આપણાં અધૂરાં સપના થોપી દેતા હોઈએ છીએ. બાળકોની રુચી, યોગ્યતા, પસંદ અને માનસિકતા મુજબ એમને જે ભણવું હોય તેમાં દાખલ કરવા જોઈએ. પણ બધા માબાપને એમના બાળકોને પહેલા ડૉક્ટર પછી એન્જિનિઅર બનાવવા હોય છે. બાળકોને એમની અણગમતી લાઈનમાં ભણાવવા તેમના આત્મા ઉપર હુમલા સમાન છે.  હવે  આ માર્ક્સ કઈ રીતે આપાય છે તે આપણે સહુ જાણીએ છીએ. શિક્ષકે પીધેલ એક સારી કે ખરાબ ચા કે કૉફિ પણ માર્ક્સ ઉપર અસર કરી શકે છે.

ગ્રેડ સિસ્ટમ, માર્ક્સ સિસ્ટમ કરતા થોડી સારી હશે. માર્ક્સ સિસ્ટમનો હળવો પ્રકાર ગ્રેડ સિસ્ટમ લાગે છે. ૮૦ માર્ક્સ લાવનાર અને ૯૦ માર્ક્સ લાવનાર બંનેની ગ્રેડ ‘B’ હોય એટલો ફેર પડે. ઘણી જગ્યાએ A, A+, A++ વપરાતું હોય છે. આવું જ B ગ્રેડનું સમજવું. છતાં સાવ જૂની ઘરેડ મૅકોલેના જમાનાની પકડી રાખવી તેના કરતા થોડું ઇવલૂશન કરવું તો પડે જ. બળદગાડી પરથી સીધા એરપ્લેન પર તો આવી જવાતું નથી. માર્કસની મૅરથન પડતી મૂકી કશું નવું અપનાવવાનો સમય હવે પાકી ચૂક્યો છે.

સત્તાવાર આંકડા મુજબ અમેરિકામાં ૪ થી ૧૭ વર્ષની આયુ ધરાવતા બાળકોમાં ૮% બાળકો ADHD વડે પીડાતા માલૂમ પડ્યા છે. Attention Deficit Hyperactivity Disorder વડે પીડાતા બાળકોમાં છોકરીઓના પ્રમાણમાં છોકરાઓ ત્રણ ઘણા વધુ હોય છે. ચાલો આંકડા ગમે તે કહેતા હોય આ ADHD છે શું? સીધી સાદી વ્યાખ્યા મુજબ બાળકો સ્કૂલનાં વાતાવરણમાં ગોઠવાઈ જતા નથી કે અનુકૂલન સાધી શકતા નથી. શિક્ષકોના અબ્ઝર્વેશન મુજબ સ્કૂલમાં બાળકની ડોકમાં દુખાવો થતો હોય, ભણવામાં ધ્યાન આપતું નાં હોય, અસાઇન્મન્ટ પુરા કરતું ના હોય, વધારે પડતું હલનચલન કરી આખા વર્ગને ખલેલ પહોચાડતું હોય, વધારે પડતું બોલ્યા કરતું હોય ત્યારે બાળક ADHD વડે પીડાતા હોવાની શક્યતા છે તેમ કહેવાય. મૂળ તો ઇવલૂશનરી મિસમૅચિંગનો દાખલો છે.

લાખો વર્ષ થયા માનવને ઉત્ક્રાંતિ પામે. એમાં લાખો વર્ષ લાગી કોઈ સ્કૂલો હતી નહિ. બાળકો જે જરૂરી હોય તે રમતગમતમાં શીખી લેતા હતા. બધું પ્રેક્ટિકલ શીખવવામાં આવતું, કે શીખી જતા. આવી બંધ ચાર દીવાલો વચ્ચે બેસીને બાળકો લાખો વર્ષ લાગી કશું શીખ્યા નહોતા. શું બાળકો આપણે શીખવીએ તો જ શીખતા હોય છે ? જાતે કશું શીખતા નહિ હોય ??-

  —વધુ આવતા અંકે—–

સ્વતંત્રતા શીખવાની-૨ Hard Truths About Human Nature.

સ્વતંત્રતા શીખવાની-૨ Hard Truths About Human Nature.

આ હન્ટર-ગેધરર સમાજ વિષે જાણી લેવું અત્યંત જરૂરી છે. ગેરસમજ થવાના ૧૦૦ ટકા ચાન્સ છે. હન્ટર-ગેધરર સમાજ કોઈ યુદ્ધખોર આદિવાસી સમાજ નથી. આવા સમાજ હજુ છે પણ બહુ ઓછા. હન્ટર-ગેધરર સમાજવાદમાં માનતા લોકશાહી સમાજ હોય છે. આપણાં મનમાં હન્ટર-ગેધરર નામ આવે એટલે બિહામણા ચહેરા ઊપસી આવે. માણસને ખાઈ જાય તેવા ક્રૂર લોકો હશે તેવી છબી ઊપસી આવે. પણ એવું નથી જે ક્રૂર આદિવાસી સમાજો છે તે ખેતીપ્રધાન સમાજોના પૂર્વજો છે.

Napoleon Chagnnon નામના લેખકે “The fierce people” નામનું પુસ્તક લખીને દક્ષિણ અમેરિકાના ઍમેઝન વિસ્તારમાં રહેતા Yanomami  નામના ક્રૂર આદિવાસી સમાજને 125_bushmendamaraવિખ્યાત કરી મૂકેલો. આ સમાજ  હન્ટિંગ ગેધરિંગ કરતો હોય છે, પણ એમણે જાતે ઉગાડેલા પાકમાંથી ગેધરિંગ કરતો હોય છે. વળી આ સમાજ બાકીની દુનિયાથી સાવ અલિપ્ત રહી શક્યો નથી. ખરેખર તો આ ક્રૂર આદિવાસી સમાજ ઉપર સ્પૅનિશ, ડચ, અને પોર્ટ્યૂગીઝ લોકો દ્વારા લગભગ નિકંદન કાઢી નાખે તેવા હુમલા થયેલા છે અને આ સમાજની વ્યક્તિઓને ગુલામ તરીકે વેચવામાં પણ આવેલી છે.

રિઅલ હન્ટર-ગેધરર સમાજો ખાલી પેટ ભરવા પૂરતા શિકાર કરે છે. અને એમના જાતિભાઈના શિકાર કદાપી કરતા નથી. ૨૦મી સદીમાં આશરે ડઝન જેટલા આવા સમાજોના અભ્યાસ એમની સાથે રહીને ઍન્થ્રપૉલજિસ્ટ લોકોએ કરેલા છે. ભલે એમની સંસ્કૃતિ જુદી પડતી હોય પણ એમની કૉમન રહેણીકરણી સાવ સરખી હતી. એક તો બાળકો સહિત ૨૦ થી ૫૦ વ્યક્તિઓના સમૂહમાં રહેવાનું. બીજા આવા નજીકના સમૂહ શાંતિપૂર્ણ સંબંધ સાથે મિત્રાચારી, લોહીની સગાઈ અને સહકાર હોવાનો. મોટાભાગના આવા સમાજ યુદ્ધની પરિસ્થિતિથી અજાણ્યા. અને યુદ્ધ જેવું જાણતા હોય તે નજીકમાં યુદ્ધખોર સમાજ રહેતા હોય તો  તેની અસર કે બચાવ માટે નાછૂટકે લડવું પડે. બાકી મૂળ હન્ટર-ગેધરર સમાજો શાંતિપ્રિય સમાજ હોય છે. દરેકને વ્યક્તિગત સ્વતંત્રતા સાથે સમાનતા, સહકાર અને બાળ ઉછેર પદ્ધતિ Non-directive , હન્ટર ગેધરર સમાજની ખૂબી છે. અહીં નિર્ણય લોકશાહી રીતે લેવાતા હોય છે કોઈ નેતા જેવું ખાસ હોતું નથી.

હન્ટર-ગેધરર સમાજ માનતો હોય છે કે કોઈના ઉપર કંટ્રોલ કરવો બૂરી બાબત છે, ભલે તે બાળક હોય. આ લોકો પ્રત્યક્ષ રીતે બાળકોને કશું શીખવતા નથી. પણ એવી પરિસ્થિતિ ઊભી કરે જેથી બાળકોને શીખવામાં હેલ્પ મળે. આ લોકોને એમના બાળકોમાં ખૂબ વિશ્વાસ અને શ્રદ્ધા હોય છે. એમના બાળકોને કશું શીખવાની ઉત્સુકતા કે પ્રેરણા ના થાય ત્યાં સુધી કશું શીખવતા નથી.

હન્ટર-ગેધરર બાળકો દુનિયાના સૌથી સ્વતંત્ર બાળકો છે. આ લોકો માનતા હોય છે કે બાળકોમાં સેન્સ હોય છે. બાળકો સમજદાર હોય છે ચોવીસે કલાક એમના ઉપર મોટેરાઓએ ધ્યાન રાખવાની જરૂર હોતી નથી. બાળક ચાર વર્ષનું થાય એટલે મુક્ત રીતે એને રમવા દેવાનું શરુ થઈ જાય. અહીં બાળકોને આખો દિવસ બેરોકટોક રમવાની છૂટ હોય છે. એમની જાતે જે શીખવું હોય તે બાળકો જોઇને શીખતા જતા હોય છે. એટલે નિયમિત એમના ઉપર ચોકીદારી બંધ.

અહીં બાળકોને તમામ ટૂલ્સ, સાધનો, અરે! ડેન્જર ગણાતા છરી જેવા હથિયાર રમવાની પણ છૂટ હોય છે. ઝેર પાયેલા તીર વગેરે બાળકોથી સલામત રીતે દૂર રાખવામાં આવે છે. બાળકોને નાના રમી શકાય તેવા તીર કામઠા બનાવી આપવામાં આવતા હોય છે. આ લોકો સમજતા હોય છે કે બાળકો જોઇને, સાંભળીને અને ભાગ લઈને બધું શીખતા હોય છે. માટે અહીં બાળકોને બધી પ્રવૃત્તિમાં સાથે રાખવામાં આવતા હોય છે.

કામ કરવાની જગ્યાએ બાળકો ઘણીવાર અડચણરૂપ બનતા હોય છે અને એના લીધે કામ ખૂબ ધીમું પડી જતું હોવા છતાં આ લોકોની બાળકો પ્રત્યેની ધીરજ અમાપ છે. ક્યારેય બાળકોને ટોકતા નથી કે કાઢી મૂકતા નથી. બાળકો ખભા ઉપર ચડી જાય કે ખોળામાં બેસી જાય કે કામમાં ગમેતેટલી અડચણ કરે કદી ટોકતા નથી. અહીં બાળકોને કશું શીખવું હોય તો આભાર માની ખુશ થઈને શીખવવાની પદ્ધતિ છે. અહીં જે કઈ આવડતું હોય જે કઈ વિશિષ્ટ આવડત હોય તેને વિશિષ્ટ બનાવી રાખવાની પદ્ધતિ નથી. વિદ્યા અહીં ગુપ્ત નથી, કે નથી કીમતી. જેને શીખવું હોય તે મફત શીખી શકે છે.

હન્ટર એટલે પુરુષો શિકાર કરે અને ગેધરર એટલે સ્ત્રીઓ ખાવાનું એકઠું કરે. ફળફળાદી, કંદમૂળ, ખવાય તેવા ભાજીપાલો બધું એકઠું કરવાનું કામ સ્ત્રીઓ કરતી હોય છે. અહીં સ્ત્રી પુરુષની સમાનતા છે તેટલી બીજે ક્યાંય નહિ હોય. આ બધી બાબતો ઘણો અનુભવ અને હોશિયારી માંગી લેતી હોય છે. કયા કંદ ખવાય, કયા છોડા કે ફળ ખાવા લાયક છે કયા નથી બહુ ધ્યાન રાખવા જેવું હોય છે. આ સ્ત્રીઓનું વનસ્પતિ જ્ઞાન અદ્ભુત હોય છે.

Aka કલ્ચરની એક સ્ત્રીએ ઇન્ટરવ્યૂમાં જણાવેલું કે એની માતા જાતજાતના જંગલી કંદમૂળ અને મશરૂમ લાવીને બધાની વચ્ચે પાથરીને જણાવતી કે કયા ખાવાલાયક છે ને કયા નથી. બાળકોને શીખવવાની અહીં બીજી આડકતરી રીત છે વાર્તાઓ કહેવાની. પુરુષો એમના શિકારની ટ્રિપની વાર્તાઓ કહેતી હોય છે અને સ્ત્રીઓ એમના ગેધરિંગ કામની. કલાહારી રણમાં વસેલી Ju/’hoan હન્ટર-ગેધરર સમાજ વિષે પહેલી વાર અભ્યાસ કરનાર Elizabeth Marshall Thomas નામની મહિલા કહે છે અહીંની ૬૦ વટાવી ચૂકેલી સ્ત્રીઓ ગ્રેટ storytellers હોય છે. વાર્તાઓ બાળકોને અનુલક્ષીને હોતી નથી, પણ વાર્તાઓ બાળકો સંભાળે છે એને પચાવે છે અને એમાંથી શીખે છે.

આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, New Guinea, દક્ષિણ અમેરિકા વસેલા  હન્ટર-ગેધરર સમાજો વિષે ઍન્થ્રપૉલજિસ્ટ વૈજ્ઞાનિકોએ ખૂબ સંશોધન કરેલું છે. Jonathan Ogas અને Peter Gray નામના બે સંશોધકોએ આવા નવ સ્કૉલર ઍન્થ્રપૉલજિસ્ટનો સંપર્ક સાધી એક પ્રશ્નોત્તરી તૈયાર કરી તેના જવાબ મેળવી આવા સમાજોની શિક્ષણ પદ્ધતિનું જબરદસ્ત તારણ કાઢેલું છે. ત્રણ આફ્રિકા, એક મલેશિયા, એક ફિલીપીન્સ અને એક ન્યુ ગીની એમ કુલ છ આવા હન્ટર-ગેધરર સમાજનો અભ્યાસ કરવામાં આવેલો.

આપણને થતું હશે આવા જંગલી લોકોને વળી શીખવાનું શું હોય ? અહીં ક્યા ડૉક્ટર, એન્જિનિઅર કે વકીલ બનવાનું છે? નાં ભાઈ નાં અહીં ખૂબ શીખવાનું હોય છે. કદાચ આપણાં કરતા ઘણું વધારે. છોકરાઓને ત્રણસો ચારસો જાતના મૅમલ્સ અને પક્ષીઓ વિષે ભણવાનું હોય છે. કારણ એમના શિકાર કરતી વખતે એમની જીવન પદ્ધતિઓ વિષે જાણવું જરૂરી હોય છે. એમનો પીછો કરવો દરેકના પગલા ઓળખવા, એમના અવાજ કાઢવા ઘણું બધું શીખવાનું હોય છે. તીર, કામઠા, બ્લોગન્સ, ડાર્ટ, નેટ બધું બનાવવાનું અને વાપરવાનું શીખવાનું હોય છે.

છોકરીઓને પણ હજારો પ્રકારના ફળ, ફૂલ, કંદમૂળ, લીલા ભાજીપાલા, નટ્સ, અનાજ, બધું ઓળખવાનું હોય છે. ઘા પડ્યા હોય ત્યારે દવાદારૂ કરવાના. ત્યાં ક્યા એમ.ડી. હાજર હોય કે ગાઇનિકોલોજીસ્ટ હાજર હોવાના? બધું જાતે જ શીખવાનું અને ક્યારેક તો આ બધું કોઇના શીખવ્યા વગર શીખવાનું. અહીં કોઈ સ્કૂલ હોતી નથી. બધું જાતે જોવાનું, અનુભવવાનું અને શીખવાનું. વળી અહીં કોઈ પુછયા વગર પરાણે કોઈ શીખવે નહિ. અહીં મોટેરાં બાળકોમાં દાખલ કરે નહિ. હા એમની જાતે શીખવાની ઉત્સુકતા બતાવે તો હોશે હોશે શીખવે બાકી નહિ.

અહીં બાળકોને રમવાનો પુષ્કળ સમય છે. લગભગ આખો દિવસ બાળકો રમ્યા કરતા હોય છે. બાળકો મોટેરાંની પ્રવૃત્તિઓ જોતા હોય છે એમની રમતમાં એની નકલ કરતા હોય છે અને એમાંથી ક્યારે એ જ પ્રવૃત્તિમાં કાબેલ બની જતા હોય છે તેની ખબર પણ પડતી નથી હોતી.

મોટેરાઓ તરીકે આપણાં બાળકો પ્રત્યે અને દુનિયાના બાળકો પ્રત્યે આપણી કેટલીક જવાબદારીઓ હોય છે. આપણી ફરજ છે કે આપણે બાળકોને સલામત, તંદુરસ્ત સન્માનનીય વાતાવરણ પૂરું પાડીએ જેથી બાળકો એમનો વિકાસ કરી શકે નહિ કે આત્મહત્યા. બાળકોને તાજી હવા પૂરી પાડવાની આપણી ફરજ છે, યોગ્ય ભોજન પૂરું પાડવાની આપણી ફરજ છે, પ્રદુષણમુક્ત જગ્યા જ્યાં બાળક રમી શકે તે પૂરી પાડવી આપણી ફરજ છે.

બાળકોને સારો ખોરાક, કપડા, રહેઠાણ અને સારું તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડી શકીએ તેમ નાં હોઈએ તો બાળકો પેદા કરવાનો આપણને કોઈ હક નથી. દારુણ ગરીબીમાં જીવતા અને ભીખ માંગી ખાતા લોકોને બાળકો પેદા કરવાનો હક ના હોવો જોઈએ અથવા સમજીને પેદા ના કરવા જોઈએ. અતિશય તણાવ પેદા કરતું, અને અતિશય ભાર સહિતનું ભણતર બાળકોના માથે મારવાની જવાબદારીમાંથી ફક્ત મુક્ત થવા જેવું છે.

–વધુ પછીના અંકમાં—-

સ્વતંત્રતા શીખવાની-૧ Hard Truths About Human Nature.

સ્વતંત્રતા શીખવાની-૧ Hard Truths About Human Nature.
જ્યારે જ્યારે શિક્ષણ ક્ષેત્રે પરીક્ષા અને પરિણામનો માહોલ સર્જાય છે ત્યારે વિદ્યાર્થીઓના આત્મહત્યાના બનાવો વધી જતા હોય છે. સમાચાર પત્રોમાં વાંચીને ઘણું દુઃખ સૌને થતું હોય છે. ક્યારેક સામટાં એક કરતા વધુ વિદ્યાર્થીઓના આત્મહત્યાના બનાવો બનતા આપણે શોકમાં ઘેરાઈ જતા હોઈએ છીએ. હમણાં કોઈ તેજસ્વી વિદ્યાર્થીની ચાર્મીએ આત્મહત્યા કરવા ચાલુ પરીક્ષાએ ભૂસકો મારેલો, કેમકે તે ચોરી કરે છે તેવું માની સુપર્વાઇઝર પુરવણીમાં લાલ અક્ષરથી ૩૦ માર્ક્સ માઈનસ લખી દે છે. તેના સમાચાર ફેસબુક પર કોરિયાથી મિત્ર નરેન્દ્રભાઈએ મૂક્યા ત્યારે એમના શબ્દોમાં વ્યક્ત થતો આજના શિક્ષણ શાસ્ત્રીઓ પ્રત્યેનો રોષ ખરેખર શોચવા જેવો હતો. આજની પુરાણી માર્ક્સ પધ્ધતિ બદલવાનો સમય હવે આવી ચૂક્યો છે.

    એક વ્યક્તિ(વિદ્યાર્થી) કશું શીખે તે માટે મદદરૂપ થવા બીજી વ્યક્તિ(શિક્ષક) કોઈ ખાસ વર્તણૂક કરે, આ થઈ શીખવવાની સાદી વ્યાખ્યા. આમાં મૂળ શીખવાનું તો હોય છે શીખનારે, શીખવનારે શીખવાની પ્રક્રિયામાં ફક્ત મદદ કરવાની હોય છે. હવે ઘરમાં કોઈ તમને પધ્ધતિસર ચા બનાવવાનું શીખવે તો પેલી વ્યાખ્યા મુજબ શીખવ્યું કહેવાય, પણ તમે ઘરમાં કોઈને ચા બનાવતા ફક્ત જોઇને શીખી જાવ તો ચા બનાવનારે તમને કશું શીખવ્યું નથી. તો એને શિક્ષક કઈ રીતે કહેવાય ? વગર શીખવ્યે શીખવનાર આપણો પહેલો શિક્ષક હોય છે આપણી માતા અને પિતા.

શિક્ષણ બે પ્રકારનું હોય છે એક છે સ્કિલ મતલબ કુશળતા, પ્રાવીણ્ય, કળા કારીગરી. અને બીજું છે માહિતીપ્રદ. પ્રાણીઓ પણ એમના બચ્ચાઓને કૌશલ શીખવતા હોય છે. સસ્તન પ્રાણીઓ ખાસ તો શિકારી પ્રાણીઓ એમના Cubs ને સારી એવી માત્રામાં તાલીમ આપતા હોય છે. સર્વાઇવ થવા શિકાર કરવાનું કૌશલ્ય ખાસ શીખવું પડે. એના માટે આ બચ્ચા આખો દિવસ દોડધામ અને રમત એકબીજા સાથે કરતા હોય છે. પણ છતાં એમને શિકાર કરવાની ખાસ તાલીમ આપતા નોંધાયું છે.

Timothy Caro નામના પ્રોફેસરે ચિતા ફેમિલીનાં જીવન કવનને ફિલ્મમાં ઊતારતા ખાસ જોયું કે Cheetah  માતા પહેલા એના કબ આગળ મારેલું નાનું સસલું કે હરણ લાવીને મૂકે છે. કબ આની ઉપર હુમલો કરતા હોય છે અને પછી ખાતા હોય છે. પછી જેમ બચ્ચા મોટા થાય તેમ માતા જીવતા સસલા કે નાના હરણ લાવીને ધરે છે. કબ આતુરતા પૂર્વક  એમની પાછળ પડે છે પકડવા માટે. આમાં ઘણીવાર મોંઘું પડી જતું હોય છે. કબ અનુભવી હોતા નથી અને પેલું જીવતું હરણ દોડીને છટકી પણ જતું હોય છે અને ભૂખ્યા રહેવું પડતું હોય છે. ઘણીવાર શિકાર છટકી જાય તો માતા પોતે દોડીને પકડી લાવે છે અને ફરી કબ આગળ છોડી દે છે.

આમ બચ્ચા શિકારને પકડતા શીખી જતા હોય છે. માતા એમને વારંવાર આ બધી પ્રૅક્ટિસ કરાવતી હોય છે. આમ કબ મોટા થતા જાતે શિકાર કરવાનું શીખી જતા હોય છે. અકસ્માતે પ્રાણીઓની વર્તણૂકને ડૉક્યુમેન્ટરીમાં ઉતારતાં પ્રાણીવિદ છક થઈ ગયા કે ચિતા માતા જાણી જોઇને હેતુપૂર્વક પરિસ્થિતિ ઊભી કરતી હતી. પહેલા મરેલા શિકાર લાવતી હતી, પછી જીવતા શિકાર લાવતી હતી, શિકાર છટકી જાય તો પોતે દોડીને પકડી લાવી ફરી જીવતું કબ આગળ છોડી દેતી. આમ ભરપૂર પ્રૅક્ટિસ કરાવતી હતી. Caro એ નોંધ્યું કે ઘણીવાર શિકાર કબ અને માતા બધા પાસેથી છટકી જતો તો ભૂખે રહેવાનો પણ વારો આવી જતો. પણ વળતરમાં કબ સ્કિલ શીખતા જતા હતા.

આવીજ વર્તણૂક બીજા શિકારી પ્રાણોમાં પણ જોવા મળેલી છે. Meerkats માતા પણ એના pups ને ભયાનક ડંખ મારતા વીંછી ખાવાની કુશળતા શીખવતી હોય છે. પ્રથમ તે મરેલા વીંછી લાવીને બચ્ચા આગળ મૂકતી હોય છે. બચ્ચા એની પર હુમલો કરતા હોય છે પછી ખાતા હોય છે. પછી માતા જીવતા વીંછી લાવતી હોય છે પણ એમના ભયાનક ડંખ પહેલેથી ઊખેડી લેતી હોય છે જેથી બિન અનુભવી બચ્ચાને જોખમ ના રહે. બચ્ચા કુશળ થઈ જાય પછી માતા જીવતા ડંખ સહિત વીંછી લાવવાનું શરુ કરે છે. આમ બચ્ચા ભયાનક વીંછી મારીને ખાતા શીખી જતા હોય છે.

આપણે બાળકોને શીખવવા માટે થઈને પ્રૅક્ટિસ કરવા મોટાભાગે મટિરિયલ ઉપલબ્ધ કરવાનું વિચારતા નથી. પણ આ એક બહુ કીમતી રસ્તો છે બાળકોને શીખવવાનો. ચિતા અને મરકેટ માતાની જેમ આપણે બાળકોને વસ્તુઓ, સાધનો, ટૂલ્સ, રમકડા પૂરું પાડીને શીખવવાની શરૂઆત કરાવી જોઈએ.

આપણ માનવોની કેટલીક મર્યાદાઓ હોય છે. બધું પ્રેક્ટીકલ શીખવી શકતા નથી. આપણે મોટાભાગે બધું જોઇને શીખતા હોઈએ છીએ. આપણાં બાળકો બધું જોઈ જોઇને શીખતા હોય છે. મોટાભાગનું  એમને શીખવવું પડતું હોતું નથી. બાળકો ગુડ ઑબ્ઝર્વર હોય છે. જે વસ્તુ કે વર્તણૂક તમને ગમતી ના હોય તે બાળકોના દેખાતા કરશો નહિ. છતાં ઘણી વસ્તુઓ નિદર્શન કરીને શીખવી શકાતી હોય છે.

માનવ સિવાયના પ્રાણીઓમાં નિદર્શન કરીને કોઈ શીખવતું નથી, પણ ચિમ્પૅન્ઝીમાં માતા એના બચ્ચાને કવચ કોટલાવાળાં ફળો કઈ રીતે તોડવા તેનું નિદર્શન કરીને શીખવતી હોય છે. દા.ત. નાળિયેર જેવા ફળ પથ્થર પર ગોઠવવા એના પર બીજા પથ્થર કે લાકડા વડે તોડવા બધું બચ્ચાને શીખવવામાં આવતું હોય છે. નાના ચિમ્પૅન્ઝીને આ બધું શીખવતા વર્ષો લાગી જતા હોય છે. Cristopher અને Hedwige નામના બે સંશોધકોએ આ બધું દસ્તાવેજી ચિત્રોમાં કંડારેલું છે.

આમ શીખવવાની પ્રક્રિયા એક વ્યક્તિની (The teacher) એવી વર્તણૂક છે જે બીજા વ્યક્તિને (The pupil ) શીખવામાં મદદરૂપ થતી હોય છે. આવી બિહેવ્યર non-human પ્રાણીઓમાં પણ હોય છે. ખેતીની શરૂઆત થયે આશરે ૧૦,૦૦૦ વર્ષ થયા છે. આમ ૧૦,૦૦૦ વર્ષ પહેલાં આખી દુનિયાના તમામ લોકો  Hunter-Gatherers  હતા. આપણી શીખવાની અને શીખવવાની પ્રક્રિયા હન્ટર ગેધરર જીવન શૈલીની જરૂરિયાતો મુજબ વિકાસ પામેલી છે.

વધુ આવતા અંકે…..

પ્રેમ, રસાયણોનો ફુવારો. Hard Truths About Human Nature.

પ્રેમ, રસાયણોનો ફુવારો. Hard Truths About Human Nature.

પ્રેમ વિષે ખૂબ લખાય છે. પણ પ્રેમ પેદા કરતા રસાયણો વિષે કશું ખાસ લખાતું નથી. પ્રેમ હૃદયથી થાય છે તેવું માનનારા સમજી લે કે હૃદય ખાલી શરીરમાં લોહી ફેરવનારો પંપ માત્ર છે. જેને આપણે પ્રેમની પરિભાષામાં હૃદય તરીકે ઓળખીએ છીએ તે બ્રેનમાં રહેલા લાગણી અને કલ્પના વિભાગ છે. પ્રેમ માટે કારણભૂત અનેક રસાયણો છે. પ્રે

પ્રેમ સાદી ભાષામાં કહીએ તો કેમિકલ લોચા છે. એ ખાલી નારંગીનો રસ નથી, પણ નારંગી, મોસંબી, કેરી, પાઈનેપલ, એમ જુદાજુદા ફળોના રસનું કૉકટેલ છે. પ્રેમ હંમેશા સુખ આપતો નથી. પ્રેમીઓને દુખી દુખી કરી મૂકવાની એની તાસીર સમજી લેવી જોઈએ. આ તાસીર સમજવા મૅમલ બ્રેનની તાસીર સમજી લેવી જરૂરી છે. પ્રેમમાં કાયમ ચડાવ ઉતાર કેમ થતા હશે ? સતત પ્રેમના સુખમાં કેમ જિવાતું નથી ?

Love triggers Dopamine:  Dopamine એક સુંદર લાગણી છે જ્યારે તમને કોઈ ખોવાયેલી ચાવી જડી જાય. બસ આ ખોવાયેલી ચાવી બ્રેન કાયમ શોધ્યા કરતું હોય છે. પ્રાણીઓ કાયમ ખોરાક અને સમાગમની  શોધમાં ફર્યા કરતા હોય છે. અને જ્યારે આ જરૂરિયાત પૂરી થાય કે તરત ન્યુરોકેમિકલ ડોપમીન મોજું ધસી આવે છે. પણ આ કાયમ મૌજા હી મૌજા નાં હોય. આ મોજું આ ફુવારો બહુ નાનો હોય. મોજું ઊંચે જઈને નીચે પછડાય તે એની જૉબ છે. તમારી જરૂરિયાત ફરી પૂરી કરવા માટે એક તક સૂચવે છે. એટલે આપણને જ્યારે કોઈ ચાવી મળી જાય એટલે આપણે સુખનો અનુભવ કરતા હોઈએ છીએ. પણ આ સુખ કાયમ ટકી રહે, મોજું ઊંચે ચડી રહે નીચે આવેજ નહિ તેવું વિચારીએ છીએ. અહીં માર ખાઈ જઈએ છીએ.

આપણને કોઈ પ્રેમી પાત્ર મળી જાય ત્યારે એનું સુખ કાયમ મળતું રહે તેવી ઇચ્છા ધરાવતા હોઈએ છીએ. પણ સુખનું મોજું કાયમ ઊંચે ચડેલું રહે નહિ, ત્યારે આપણે પ્રેમી પાત્રને બ્લેમ કરતા હોઈએ છીએ કે આ બદલાઈ ગયું છે. ભાઈ કોઈ બદલાઈ જતું નથી નાં આપણે નાં આપણું પ્રેમી. અને એનો અર્થ એવો નથી કે ડોપમીન લાગણી મેળવવા કાયમ પ્રેમીજન બદલતા રહીએ. કહેવાનો મતલબ એટલો જ છે કે કાયમ આ મોજું  ઊંચે ચડેલું રહે તે રીતે આપણે ઈવૉલ્વ થયેલા જ નથી.

Love triggers Oxytocin:  ઑક્સિટોસિન ન્યુરોકેમિકલ વિશ્વાસનું જનક છે. Orgasm સમયે તેનો સ્ત્રાવ થતો હોય છે. જ્યારે પ્રેમીજનનો હાથ હાથમાં લઈએ ત્યારે થોડી માત્રામાં તે સ્ત્રવે છે. પ્રાણીઓ તેમના બચ્ચાને ચાટતાં હોય ત્યારે પણ તે સ્ત્રવે છે. માતા બાળકને ધવરાવતી વખતે એના માથે હાથ ફેરવતી હોય ત્યારે પણ એનો સ્ત્રાવ થતો હોય છે જે અદ્ભુત આનંદ અર્પે છે.

આપણી મનપસંદ રાજકીય પાર્ટી જીતે ત્યારે અને ક્રિકેટ મેચ જીતી જઈએ ત્યારે નીકળતી રેલી અને ધમાલ વખતે પણ આનો સ્ત્રાવ થતો હોય છે. મૅમલ પ્રાણીઓ કાયમ ઑક્સિટોસિન રિલીસ કરતા હોય છે. સગાઓ સાથે અને પોતાના સમૂહ સાથે જોડાણ અનુભવે કે તરત આનો સ્ત્રાવ થવાનો. જે વ્યક્તિ સાથે જેટલું વધારે જોડાણ અનુભવો તેટલો આનો સ્ત્રાવ વધુ થવાનો. More touch, more oxytocin, more trust. પણ હ્યુમન બ્રેન માટે ટ્રસ્ટ ખૂબ કૉમ્પ્લિકેટેડ હોય છે.

આપણી અપેક્ષાઓ પ્રમાણે આપણે કોઈના ઉપર વિશ્વાસ કરતા હોઈએ છીએ, અને આપણી અપેક્ષાઓ એટલી બધી ગૂંચવાડા ભરેલી હોય છે તેનો કોઈ અંદાજ આપણને હોતો નથી. કાળક્રમે આપણું પ્રેમીજન આપણી અપેક્ષાઓ પૂરી કરવા માટે નિષ્ફળ જતું હોય છે. તેમ આપણે પણ એની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે કાયમ સફળ થતા નથી.

આપણાં મૅમલ બ્રેન માટે વિશ્વાસ ગુમાવવો જીવલેણ કટોકટી હોય છે, લાઇફ થ્રેટનીંગ. એક ઘેટું એના ટોળાથી છૂટું પડી જાય તો એનું ઑક્સિટોસિન નીચું ઊતરી જાય છે, અને cortisol ઊંચે ચડી જાય છે. જે એને ભય પમાડે છે. જેથી ઘેટું મોટીવેટ થાય કે કોઈ જીવતું ચાવી જાય તે પહેલા ટોળામાં પાછું જતું રહે. માનવની કોઈ અપેક્ષા પુરી થાય નહીં તો cortisol મૅમલ બ્રેન માટે ઇમર્જન્સી ઊભી કરી દેતું હોય છે. જે સર્વાઇવલ માટે જરુરી હોય છે.

Love triggers serotonin:  માનસન્માન મળે તો અદ્ભુત આનંદ આવતો હોય છે, તેનું કારણ છે સેરોટોનિનનો સ્ત્રાવ. પ્રાણી જગતમાં સામાજિક સર્વોપરિતા સમાગમની સાથે સાથે વંશ વારસોના સર્વાઇવલની તક વધારી દેતું હોય છે. કોઈ સચેતન રીતે લાંબા સમયના લક્ષ્યને લીધે પ્રાણીઓ એકબીજા ઉપર ધાક જમાવે છે તેવું નથી, તેઓ ધાક જમાવે છે કે સિરોટોનિન આનંદ અર્પે છે. જ્યારે કોઈ આપણાં સ્ટૅટ્સ માન મોભાને સન્માને છે ત્યારે આપણે ખુશી અનુભવીએ છીએ.

હાઈ-સ્ટૅટ્સ, માન મોભો સમાગમની તકો વધારી દે છે તે હકીકત છે. પ્રિયજન આપણને માનસન્માન આપે છે. આપણો મોભો વધારે છે. બીજા લોકો આ રીતે સન્માન આપે તેમાં મદદરૂપ પણ થાય છે. પણ આપણું બ્રેન કાયમ વધારે ને વધારે માન સન્માન મેળવીને વધારે ને વધારે સિરોટોનિન આનંદ ઇચ્છતું હોય છે. જેટલું વધારે માન મળે તેટલું વધારે સુખ મળતું હોય છે આમ માન મેળવાની ઇચ્છા વધતી જતી હોય છે. એટલાં માટે લોકો એમના પ્રિયજન પાસે સતત ડિમાન્ડ કર્યા જ કરતા હોય છે. જેટલી ડિમાન્ડ પૂરી થાય તેટલું વધારે માન મળ્યું તેમ સમજાતું હોય છે. બસ અહીં માર ખાઈ જવાય છે. કાયમ અપેક્ષા કે ડિમાન્ડ પૂરી થાય તેવું બને નહિ.

પ્રાણીઓ સમાગમ માટે સાથીની બાબતે ખાસ પસંદગી ધરાવતા હોય છે. Free love is not the way of nature. એક પ્રાથમિક કસોટીમાં ઉત્તીર્ણ થવું સેક્સ માટે જરૂરી હોય છે. માદા સક્રિય રીતે  ફળદ્રુપ હોય ત્યારે પ્રાણીઓ સમાગમ કરતા હોય છે. ફીમેલ ચિમ્પૅન્ઝી દર પાંચ વર્ષે જ સમાગમ કરતી હોય છે. બાકીના સમયમાં તે ગર્ભવતી હોય કે એના બચ્ચાને ઉછેરતી હોય. માદા ચિમ્પૅન્ઝી દર પાંચ વર્ષે હીટમાં આવતી હોય છે. ઑવુલ્યેશન વગર નર ચિમ્પૅન્ઝી માદામાં રસ લેતા નથી. પણ  જ્યારે આ તક ઊભી થાય છે ત્યારે તેઓ કોઈ પણ ભોગે તેને ઝડપી લેવા તૈયાર થઈ જતા હોય છે.

વંશ વારસો પેદા કરવા માટે પ્રોત્સાહક બને તે રીતે હૅપી કેમિકલ ઈવૉલ્વ થયેલા હોય છે. લાખો વર્ષ લાગી કુદરતના રાજમાં બચ્ચા બહુ બચતા નહિ. જાતજાતની બીમારીઓ અને અસલામત, નિષ્ઠુર જંગલના કાનૂન હેઠળ જેટલા વધુ બાળકો પેદા થાય તેટલા સારા તેવું હતું. એમાંથી જે બચ્યા તે ખરા. ભલે આજે બર્થ કંટ્રોલના જમાનામાં તમે બાળકો પેદા કરવાનું બહુ વિચારતા ના હોવ પણ તમારું મૅમલ બ્રેન એ રીતે જ ઇવોલ્વ થયેલું છે કે જેટલા વારસો પેદા થાય તેટલા વધુ સારું. Natural selection created a brain that rewards reproductive behavior with happy chemicals.

પ્રેમ પ્રોત્સાહન છે રીપ્રૉડક્શન માટે. એટલાં માટે તે પુષ્કળ હૅપી રસાયણનો સ્ત્રાવ કરે છે. રીપ્રૉડક્ટિવ બિહેવ્યર માટે સેક્સ સમાગમ ફક્ત એક પાસું છે. પ્રેમ ખૂબ મહત્વનું પાસું છે, તે પ્રેરણા આપે છે જેથી આપણે આપણાં પ્રિયજન આડે આવતા મોટા પહાડોને દૂર કરી શકીએ. અને ઉત્ક્રાંતિનો ક્રમ સચવાય તે માટે વંશ વારસનું  બચવું પણ તેટલું જ મહત્વનું છે. એને માટે જરૂરી છે ઉચ્ચ કોટીના સાથીદાર પર વિશ્વાસ અને ભાવનાત્મક અટૅચમન્ટ. બસ આ બધું ભેગું મેળવવા માટે ન્યુરોકેમીકલ્સ એમની જૉબ કરતા હોય છે બીજું કઈ નહિ. હવે આ કેમિકલ્સ કોઈ ભાષાકીય શબ્દો વાપરવાનું જાણતા નથી, અને આપણે પાગલ પ્રોત્સાહક વર્તણૂક માટે શબ્દો શોધીએ છીએ.

હૅપી કેમિકલ આપણને એવી માહિતી અર્પતા હોય છે કે જેની વ્યાખ્યા કરવી મુશ્કેલ હોય છે. માનો કે ટીવી પર મેચ જોતા હોઈએ. સચિન ૧૦૦મિ સદી પૂરી કરવા જઈ રહ્યો હોય. સ્ટેડિઅમમાં  હજારો લોકો ઉત્તેજિત હોય. આપણે પણ અહીં ઘરમાં ઉત્તેજિત બનીને ખુશીના માર્યા ઝૂમતા હોઈએ. આપણે સમજતા હોઈએ કે હજારો લોકો મારા રિઍક્શનને સમજે છે સાથ આપે છે, ત્યારે શ્રીમતીજીને એમાં કોઈ રસ ના હોય તો એવું  ફીલ થાય કે લાખો લોકો મારી સાથે છે તો આ ઘરના માણસને શું થયું છે ? રાજકારણ, ધર્મ, સ્પૉર્ટ્સ અને બીજી સામૂહિક ઍક્ટિવિટિ ઑક્સિટોસિન સ્ત્રાવ માટે કારણભૂત હોય છે. આપણને એક વિશ્વાસ પેદા થતો હોય છે.

આપણને સુખ અર્પતા કેમિકલ્સ કાયમ જોઈતાં હોય છે. થોડા રૉમૅન્સ દ્વારા જોઈતાં હોય છે થોડા જીવનના બીજા પાસા દ્વારા, નો મૅટર ગમે ત્યાંથી. હૅપી રસાયણનો ફુવારો છૂટે છે અને બંધ થઈ જાય છે, પણ શામાટે તે સમજાઈ જાય તો આપણે ન્યુરોકેમિકલ્સ સિગ્નલ વડે કન્ફ્યૂઝ થવાને બદલે આપણી વર્તણૂક મૅનેજ કરી શકીએ તેમ છીએ. ૨૦૦ મિલ્યન્સ વર્ષની લાંબી દડમજલ કરીને આ મૅમલ બ્રેન વિકસેલું છે. એને તમે સમજી શકો પણ જીતી ના શકો.

હા! તો પોતાની જાતને કે પ્રિયજનને બ્લેમ કરવાની જરૂર જ નથી કે કાયમ હૅપી કેમિકલ્સ સ્ત્રાવ થવાનો જ નથી. May be nothing is wrong; you are just living with the operating system that has kept mammals alive for millions of years. 

વહેલી જાતીય પુખ્તતા.( Early Puberty). Hard Truths About Human Nature.

વહેલી જાતીય પુખ્તતા.( Early Puberty). Hard Truths About Human Nature.

 
  પશ્ચિમના જગતમાં છોકરીઓ  જલદી પુખ્ત બની જતી જોવા મળતી હોય છે. જાતીય રીતે ઘણી વહેલી પુખ્ત બની જતી હોય છે. ઘણા સંશોધકો એવું માનતા હોય છે કે એનું કારણ અતિ પૌષ્ટિક ખોરાક છે. શારીરિક વિકાસ જલદી થઈ જાય તેમાં આવું બનતું હશે. પણ છોકરીઓને વહેલા પુખ્ત બનાવી દેવા માટે આ એક કારણ પૂરતું નથી. આ છોકરીઓ સેકસુઅલ મેચ્યોરીટી વહેલી કેમ મેળવી લેતી હશે? એમનો ઋતુચક્ર સમય પણ વહેલો શરુ થઈ જતો હોય છે. ૧૧ વર્ષની છોકરી પીરિયડમાં બેસતી થઈ જતી હોય છે. એનો મતલબ છઠ્ઠાં ધોરણમાં ભણતી છોકરી ગર્ભ ધારણ કરવા સક્ષમ છે. છોકરીઓમાં પીરિયડ શરુ થવાની અહીંની નેશનલ એવરેજ ઉંમર ૧૨ વર્ષ છે. અને ઘણી છોકરીઓ ૮ વર્ષની ઉંમરે પીરિયડમાં બેસતી જોવા મળતી હોય તેવા પણ દાખલા છે. ૧૦-૧૧ વર્ષે પીરિયડમાં બેસતી છોકરીઓનો કોઈ પાર નહિ હોય. એમાં કોઈ શક નથી કે આટલી નાની ઉંમરની છોકરીઓ માનસિક રીતે એક બાળક ઉછેરવા સક્ષમ હોય નહિ. તો શા માટે પ્રજનન ક્ષમતા પૂરતી ફીમેલ બાયોલોજી એમની સાયકોલોજી કરતા આગળ નીકળી જતી હશે?
 
    નવું ઇવોલ્યુશનરી રિસર્ચ કહે છે આના મૂળિયા માબાપની બાળ ઉછેરની કાળજીમાં, પદ્ધતિમાં સમાયેલા છે. એમાં ખાસ તો પિતા મહત્વનું કારણ હોય છે. menarche વિષે ઈવોલ્યુશન થિયરી કહે છે કે માતાપિતાની બાળ ઉછેર પદ્ધતિ અને ભાવનાત્મક જોડાણ ઘણો મોટો ભાગ ભજવી જાય છે. જે બાળકોને માતાપિતા તરફથી સતત કાળજીનો અનુભવ થતો નાં હોય, સાથે સાથે માતાપિતા તરફથી  નકારાત્મક લાગણીઓ અનુભવાતી હોય તો આવા બાળકોનો વિકાસ અસલામતી સાથે મેટિંગ સ્ટ્રેટેજી પ્રત્યે આશાવાદી તરીકે થતો હોય છે.
 
   માતાપિતાએ ડિવોર્સ લઈ લીધા હોય. ખાસ તો પિતાની ગેરહાજરી હોય, ત્યારે Menarche એટલે માસિકચક્ર શરુ થયાનો પ્રથમ દિવસ એના શરીરને Bio-signals તરીકે કહેતો હોય છે કે “This is an unstable environment,” or ” There is a shortage of males in the population .”   આવા સમયે ઈવોલ્યુશનરી બ્રેઈન વિચારતું હોય કે સર્વાઈવલ માટે પરિસ્થિતિ અનુકૂળ છે નહિ. તો જાતીય રીતે પુખ્ત બનવા માટે ઝડપ કરો અને મૃત્યુ પહેલા સાથી શોધી લો અને મોડું થાય તે પહેલા પોતાના જિન્સ નવી પેઢીમાં પાસ કરી દો. બાયોલોજીકલ પિતાની પ્રેમાળ હાજરીમાં, દેખરેખમાં છોકરી સમયસર જાતીય રીતે પુખ્ત થતી હોય છે, વહેલી નહિ. સ્ટેપ ફાધરની હાજરી પણ બાયો સિગ્નલ્સ જણાવી દેતા હોય છે કે લોહીનો સંબંધ છે નહિ ત્યાં ઉલટાની છોકરી વહેલી પુખ્ત બનીને વહેલું ઋતુ ચક્ર શરુ થઈ જતું હોય છે. The presence of an unrelated male should signal a reproductive opportunity , and thus accelerate menarche ( Barkow, 1986 ) .
 
    હવે જ્યારે માતા સાથે પણ જો પુત્રીનું સલામત ભાવનાત્મક જોડાણ હોય નહિ, માતા તરફથી પણ અસલામતી અનુભવાતી  હોય તેવી છોકરીઓ પણ વહેલી પુખ્ત બની જતી હોય છે. માતા જો પુત્રી પ્રત્યે નિષ્ઠુર હોય તો આવું બનવું સ્વભાવિક છે.  This may be reflective of harsher maternal responses in the early environment, which influences future reproductive strategy (Belsky, Steinberg, Houts, & Halpern-Felsher, 2010). Meaning, if Mom is harsh, then it would be in a girl’s evolutionary interest to mature faster. This way, she could find a mate that would take care of her.
 
     આજે ભૂતકાળમાં ક્યારેય નહોતું બનતું એટલી ઝડપે છોકરીઓ વહેલી જાતીય રીતે પુખ્ત (Puberty ) બની જતી જોવા મળે છે. કારણ સામાજિક પરિસ્થિતિ બદલાવા માંડી છે. ડિવોર્સ અને સ્ટેપ ફેમિલી વધવા માંડ્યા છે. ત્યારે  બાળકો સાથે લાગણીભર્યા સહકારની વધારે જરૂર છે એવું નથી લાગતું?
 
 
 
 
 
 
 
 

સૌન્દર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે.Hard Truths About Human Nature.

સુંદરતા પામતા પહેલા સૌન્દર્ય બનવું પડે.Hard Truths About Human Nature.
સુંદરતા પામતા પહેલા સૌન્દર્ય બનવું પડે

માનસિક અને શારીરિક રીતે સ્ત્રી અને પુરુષમાં ઘણો ફરક દેખાતો હોય છે. પુરુષ એ રીતે ઈવૉલ્વ થયેલો હોય છે કે એને યુવાન, ક્લિઅર સ્કિન, સિમેટ્રીકલ ચહેરા સાથે શરીર ધરાવતી સ્ત્રી તરફ જવાનું એને પહેલું પસંદ આવતું હોય છે. સમય માપવાની રેતીવાળી શીશી જોઈ છે ? સુંદર ચહેરો અને hourglass ફિગર ધરાવતી નારી એટલે તંદુરસ્ત અને ફળદ્રુપ જે પુરુષને હંમેશા એના જીન પાસ કરવા મહત્તમ યોગ્ય લાગતી હોય છે. આ સરળ યુનિવર્સલ ગુણવત્તા સરહદો, સંસ્કૃતિઓ અને પેઢીઓ સુધી ફેલાયેલી પહેલી પસંદગી હોય છે.images (14)

સુંદરતાની વ્યાખ્યા દરેકની અલગ અલગ હોય છે તે પણ એટલું જ સત્ય છે. આજે પશ્ચિમની નારી પાતળી બનવા ખૂબ જહેમત કરતી જોવા મળે છે ત્યાં સત્ય એ છે કે પુરુષના એક દ્ગષ્ટિપાત માટે તમામ સંસ્કૃતિની નારી ખાય છે અથવા નથી ખાતી. ખોરાકની ઉપલબ્ધતા સાથે શરીરની સાઇઝની ગુણવત્તા નક્કી થતી હોય છે. એક ૭-ઇલેવન, મેકડોનાલ્ડ, બર્ગરકિંગ કે તાકોબેલ  વગર પાંચ માઈલ પસાર કરી શકતા નાં હોવ, જ્યાં ખાવાનું અઢળક વેચાતું હોય ત્યાં પાતળી પરમાર મોસ્ટ વેલકમ. સહારન, આફ્રિકન જેવા કલ્ચર કે જ્યાં ખોરાકની અછત હોય ત્યાં ચરબીથી લથપથ સ્ત્રીઓ બ્યૂટિફૂલ ગણાતી હોય છે.

મોટાભાગની સ્ત્રીઓની પહેલી પસંદગી તેમના કરતા વધુ ઊંચાઈ સાથે સિમેટ્રીકલ ફીચર ધરાવતા પુરુષો હોય છે. હેલ્થી અને પૅરસાઇટ વગરના સંભાવિત સાથીની આ નિશાની છે. છતાં સ્ત્રી હાઈ સ્ટૅટ્સ, સત્તા અને ધનવાન વ્યક્તિને પણ પ્રથમ પસંદગી આપતી હોવાથી કોઈ ઓછી ઊંચાઈ ધરાવતા ભાઈ પ્રાઇવેટ જેટ વિમાન ધરાવી એમની હાઇટ વધારતા પગ જોડી શકે છે. બૅંગકોંગ, મલૅશિયામાં ગરીબી ખૂબ છે. ઍવરિજ સામાન્ય આવક ધરાવતો અમેરિકન પુરુષ જે મકાન અને કાર ધરાવતો હોય તે એમને માટે તો સારો એવો પૈસાદાર ગણાય જે અમેરિકન સ્ત્રી માટે ગરીબ ગણાતો હોય. અમેરિકન ડોસલાં આરામથી મલૅશિયન સ્ત્રીઓની પહેલી પસંદ બની જતા હોય છે.

“Beauty is in the eye of the beholder.” આ ઉક્તિ પ્રાચીન ગ્રીસ વખતની આજે પણ ચલણમાં છે. તો શા માટે આપણ દરેકનો ટેસ્ટ જુદો જુદો અને વિવિધ હોય છે ? શારીરિક  આકર્ષણના વૈજ્ઞાનિક અભ્યાસ સારા એવા મદદરૂપ થતા હોય છે કે સુંદરતાની વ્યાખ્યા દરેકની અલગ અલગ અને યુનિક હોય છે.  હા તો મિત્રો સુંદરતા જોનારની આંખોમાં નહિ, પણ જોનારના orbito –frontal cortex માં હોય છે તેવું neuroscience laboratory University college Londonનું કહેવું છે. આપણાં દરેકનો સુંદરતા વિશેનો એક ઇન્ટરનલ કૉન્સેપ્ટ હોય છે. કોઈ સારું સંગીત સાંભળતા હોય ત્યારે બ્રેનમાં જે ભાગ સક્રિય થતા હોય તેજ ભાગ કોઈ સુંદર દ્ગશ્ય કે ચિત્રો જોતા સક્રિય થતા હોય છે.

images (17)આપણાં અગાઉના અનુભવો મુજબ બ્રેન રિઍક્ટ કરતું હોય છે. જો મને ક્લૅસિકલ સંગીત અદ્ભુત લાગતું હોય અને ધમાલિયું રૉક સંગીત ઓછું પસંદ આવતું હોય તો ક્લૅસિકલ સંગીત સાંભળતી વખતે બ્રેનમાં રહેલા રિવૉર્ડ અને પ્લેઝર વિભાગ વધુ સક્રિય થવાના, રોક મ્યૂઝિક વખતે ઓછા.  Beauty is in the eye of the beholder, or more accurately in their medial orbito-frontal cortex. This part of the brain activates when we experience beauty either as art or as music.

મોટાભાગે એવું મનાતું હોય છે કે સુંદર ચહેરો, સુંદર વાળ અને ઘાટીલું બદન એટલે બ્યૂટિફૂલ કે હૅન્ડસમ. પણ શારીરિક આકર્ષકતા આનાથી કંઈક વધારે હોય છે. બધા કહેવાતા રૂપાળાં લોકો આકર્ષક હોતા નથી. ક્રિયાશીલ જોમવાળી શારીરિક આકર્ષકતા થોડી જુદી હોય છે. આમાં વ્યક્તિની ભાવ વાહકતા, અભિવ્યક્તિ, પ્રમાણબદ્ધ સુંદર શરીરની મોહકતા સાથે બૉડી લૅંગ્વિજ ઉમેરીને જે ડાઇનેમિક ફિઝિકલ અટ્રૅક્ટિવનેસ ઊભી થાય છે તેની સામે કહેવાતી સુંદરતા પણ ઝાંખી પડી જતી હોય છે. ચાલવાની રીત, બોલવાની વાતો કરવાની છટા, ભાવ વ્યક્ત કરવાની અદ્ભુત ક્ષમતા, ખાસ તો હકારાત્મક લાગણીઓ વ્યક્ત કરવાની ક્ષમતા બધું ભેગું મળીને આકર્ષકતામાં વધારો કરી દેતું હોય છે.

બોલીવુડમાં આપણે જોઈએ છીએ કે ઓછા રૂપાળાં લાગતા અભિનેતાઓ મોટાભાગે ચૉકલેટી રૂપાળાં અભિનેતાઓ કરતા એમની આગવી છટાને લીધે વધુ સફળ થયેલા છે. એટલે સુંદરતા એટલે ફક્ત ગોરી ચામડી સમજી લેવું ખોટું છે. મતલબ સુંદર હોવું એટલે આકર્ષક હોવું તેવું સમજી લેવું વધારે પડતું છે. સ્ટૅટિક ફિઝિકલ અટ્રૅક્ટિવનેસ સાથે ડાઇનેમિક એક્સપ્રેસિવ સ્ટાઇલ ભળી જાય ત્યારે વ્યક્તિમાં એક charisma ઊભો થતો હોય છે. આવી charismatic  વ્યક્તિઓમાં ઇમોશનલ અને સોશિઅલ કમ્યુનિકેશન સ્કિલ ખૂબ ડેવલપ થયેલી હોય છે.

સુંદરતાના કોઈ માપતોલ હોતા નથી તેવું પણ કહેવામાં આવતું હોય છે. કારણ ઘણા પુરુષોને સોનેરી વાળ ધરાવતી સ્ત્રીઓ ગમતી હોય તો ઘણાને કાળા વાળ ધરાવતી. ઘણી સ્ત્રીઓને ગોરા પુરુષો ગમતા હોય તો ઘણી સ્ત્રીઓ ઘઉંવર્ણ ધરાવતા પુરુષને પસંદ કરતી હોય. આમ દરેકની પસંદ અલગ હોવાથી કહેવાય કે સુંદરતાનાં કોઈ માપતોલ હોતા નથી. છતાં સુંદરતા વિષે અમુક માન્યતાઓ બધે સામાન્ય સહજ સરખી હોય છે. સિમેટ્રીક ચહેરો દરેક કલ્ચરમાં સરખો સુંદર લાગતો હોય છે. આમાં પણ મૅથ(ગણિત) છે. ચહેરાના બંને બાજુના માપતોલ સરખાં હોય તે ચહેરો વધુ સુંદર લાગતો હોય છે.

ક્લિઅર સ્કિન યુનિવર્સલ પહેલી પસંદ હોય છે. પુરુષત્વ સૂચિત ચોરસ જડબા પુરુષો માટે અને હાઈ ચીક બૉન્સ સ્ત્રીઓ માટે વૈશ્વિક પસંદગી હોય છે. સેન્ટ્રલ આફ્રિકામાં ગોળમટોળ ભારેખમ સ્ત્રીઓ પહેલી પસંદ હોય છે. ઇથિઓપિયામાં સુર્માં અને મૂર્સી સ્ત્રીઓ એમના હોઠ પર બહુ મોટી પ્લેટ પહેરતી હોય છે. મ્યાનમારની kareni અને padaung  સ્ત્રીઓ  ડોકમાં રિંગ્સ પહેરતી હોય છે. ડોક આમ એટલી લાંબી થઈ ગઈ હોય કે પછી રીંગ વગર ચાલે નહિ.Neck_Elongation

Men, on average, tend to be attracted to women who are shorter than they are, have a youthful appearance, and exhibit features such as a symmetrical face, full breasts, full lips, and a low waist-hip ratio. Women, on average, tend to be attracted to men who are taller than they are, display a high-degree of facial symmetry, masculine facial dimorphism, and who have broad shoulders, a relatively narrow waist, and V-shaped torso.images (16)

 

 

 

 

 

અપત્યકામ, અમરત્વની શોધમાં.Hard Truths About Human Nature.

ગાંધી પરિધાન.

દુનિયાના કોઈ પણ ખૂણે કોઈને પણ પૂછો, બાળકો કોણ નહિ ઇચ્છતું હોય? દરેકને એક બાળક હોય તેવું તો ઇચ્છતા જ હોય છે. એકાદ બાળક વગર જીવન અસફળ છે તેવું લાગતું હોય છે. સંતાનો મોટા થતાં આપણે તેમને પરણાવી દેવાની ચિંતામાં પડી જતા હોઈએ છીએ. દાદા દાદી માથુ ખાઈ જતા હોય છે કે ભાઈ ક્યારે પરણીશ? પૌત્રનું મોઢું જોઈને મરવું છે. પૌત્રનાં લગ્ન હોય તો દાદા દાદીનો હરખ માતાપિતા કરતા બમણો હોય છે. બાળકો આપણી મરણશીલતા સામે ઢાલ હોય છે. અપ્ત્યકામ એટલે સંતાનપ્રાપ્તિની ઇચ્છા દરેક સજીવના જિન્સમાં કુદરતે મુકેલી હોય છે.

Arnaud Wisman (The University of Kent)અને Jamie Goldenberg (The University of South Florida) દ્વારા કરાયેલા સંશોધન મુજબ ભાગ લેનારા વ્યક્તિઓને નકારાત્મક વિચારો જેવાકે મૃત્યુ, અસફલતા, પીડા અને દુઃખ વિષે લખવાનું કહેવામાં આવ્યું, સાથે આવા વિચારો સમયે કેટલા બાળકો રીયલ લાઇફમાં હોય અને કેટલા ફેન્ટસીમાં હોય તે વિષે લખવાનું જણાવવામાં આવ્યું. પરિણામ એ આવ્યું કે જેમ મૃત્યુનો વિચાર વધુ તેમ વધુ બાળકો હોય તેવું ઇચ્છવામાં આવેલું. વ્યવસાયિ પુરુષોની ઇચ્છામાં કોઈ ફરક નહોતો, પણ વ્યવસાયિ સ્ત્રીઓ જેમને એમની કારકિર્દી અને પ્રગતિને વધુ ધ્યાનમાં લીધેલી તેઓએ બાળકો ખાસ ઇચ્છેલા નહિ. હ! એમની પ્રગતિ કે કારકિર્દીમાં અડચણરૂપ નાં હોય તો બાળકો હોય એમાં શું વાંધો હોય? આમ બાળક હોવું તે દરેક સ્ત્રી પુરુષની આદિમ ઇચ્છા હોય છે.

આવોજ પ્રયોગ ડચ અને જર્મન નાગરિકો સાથે પણ કરાયેલો.

બે મૂળભૂત સરહદો જન્મ અને મૃત્યુ વચ્ચે માનવીનું જીવન વ્યતીત થતું હોય છે. પોતાની જાતના મૃત્યુની અનિવાર્યતાનો સામનો  કરવો તે માનવી માટે ખૂબ તણાવયુક્ત હોય છે. સાથે સાથે માનવી પાસે એક અદ્ભુત ક્ષમતા પણ છે જે નવું જીવન પેદા કરી શકે છે. માનવી પોતાનો જીવન સમય લંબાવી શકતો નથી, પણ એક બાળક પેદા કરી, એક નવું જીવન પેદા કરી તેને ઉછેરીને પોતાના ભવિષ્યના અમરત્વની ઓળખ મૂકતો જતો હોય છે. આ ચક્ર ચાલતું રહે છે તેને જ અમરતા કહેવાય.

Terror management theory (TMT), થિયરીના જનક Cultural anthropologist Ernest Becker કહે છે કલ્ચર અને ગૃપ રિલેટેડ બિહેવિયરનાં મૂળિયાં self-preservation મોટિવમાં રહેલા છે. મૃત્યુ માનવ અસ્તિત્વ સામે એક મૂળભૂત પડકાર છે. ટૅરર મૅનેજમેન્ટ એક બેસિક સર્વાઈવલ નીડ છે. બાળકો પેદા કરવા તે પણ બેસિક સર્વાઈવલ નીડ બની જાય છે. ભવિષ્યની આગોતર યોજના. બાળકો આપણા ભવિષ્યના અસ્તિત્વના પુરાવા છે. આમ બાળકો થકી આપણે અમર છીએ. કુદરતના કાનૂન સ્ટ્રેઈટ ફૉર્વર્ડ છે, જન્મ થયા પછી પાછાં ફરવાનો કોઈ રસ્તો હોતો નથી. આગે મોત હી હૈ. અને ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે તે કોઈ જાણી શકતું નથી. એટલે જેવો માનવી સમજણો થાય કે તરત એના મૃત્યુ વિષે વિચાર કરતો થઈ જવાનો અને એની નશ્વરતા સામે કોઈ ઉપાય હોય તેની શોધ કરવામાં લાગી જવાનો. ફીયર ઑફ ડેથ(ટૅરર) માનવને નવું જીવન પેદા કરવા પ્રેરતું હોય છે. આપણા બાળકો પ્રતિકાત્મકરૂપે આપણી અમરતાની નિશાની છે. એક બાળકને જન્મ આપીને અમરતાને જન્મ આપીએ છીએ.

મૃત્યુ વિશેનું ચિંતન આપણાં દેશ જેટલું બીજા કોઈ દેશે કર્યું નહિ હોય. મોક્ષ અને અમૃત વિષે પણ આપણા દેશ જેટલું ચિંતન કોઈએ નહિ કર્યું હોય. આત્માની અમરતા વિશેના શ્લોકો પણ આપણે જ સહુથી વધુ ગાઈએ છીએ. મૃત્યુથી સૌથી વધુ ભય પણ આપણે પામીએ છીએ. અચાનક અને સમજી ના શકાય તેવી આવી પડનારી આફતો સામે કોઈ રક્ષણ કરનાર હોય તેમાંથી ભગવાનની અને ધર્મની કલ્પના આવી હોઈ શકે. સેંકડો વર્ષ લાગી વિદેશીઓના આક્રમણો, મૃત્યુ વિશેનું વધારે પડતું ચિંતન, સામે અમરતા અને મોક્ષનું ચિંતન, કમજોર સજીવ ખૂબ વસ્તી વધારે જેથી સર્વાઈવ થઈ જવાય આ બધું ભેગું થઈને ભારત એક પ્રચંડ વસ્તી વિસ્ફોટ કરી બેઠું છે. અમરતાનો અણુબૉમ્બ ખતરનાક બની ચૂક્યો છે.