Tag Archives: Psychology

જોડે રેજો રાજ-૪ Hard Truths about Human Nature.

જોડે રેજો રાજ-૪ Hard Truths about Human Nature.

મૅમલમાં pair-bonding બહુ ઓછું જોવા મળે, લગભગ ના બરોબર. ગ્રેટ એપ્સમાં ચિમ્પૅન્ઝી, ગરિલા, બોનોબો વગેરેમાં પેઅર બૉન્ડિંગ હોતું નથી. ગૃપના નેતાજી બધી માદાઓને ભોગવતા હોય છે. બોનોબોમાં ગૃપ નેતા માતાજી હોય છે તે વાત જુદી છે. ગિબનમાં પેઅર બૉન્ડિંગ હોય છે. પણ એમાં માદા ગિબન ઇમર્જન્સીમાં બૂમ પાડે અને નર ગિબન જલદી આવે નહિ તો ખલાસ, માદા એને ઊભો મેલીને બીજો ભાયડો પસંદ કરી લેતી હોય છે.

પોતાના જેનિસ સહેલાઈથી મોટા કરવા હોય તો પેઅર બૉન્ડિંગ જરૂરી બની જાય છે. નાના નાના કારણોસર પેઅર બૉન્ડિંગ છૂટું પડી ના જાય, પેર અલગ પડી ના જાય માટે ધીમે ધીમે પેઅર બૉન્ડિંગને એક વિધિ આપવાનું શરુ થયું, કે તમારા સહજીવન શરુ થયા  સમયે આ વિધિ કરેલી છે, માટે નજીવા કારણોસર આવેશમાં આવીને છુટા પડાય નહિ. આવું ગોઠવીને સમૂહના બુદ્ધિશાળી આગેવાનોએ એક નવો કૉન્સેપ્ટ ઊભો કર્યો તેનું નામ લગ્નવિધિ, અને આ કર્મકાંડને આધારે સહજીવન શરુ થયા તેને કહેવાય લગ્નવ્યવસ્થા.

પેઅર બૉન્ડિંગ શરુ નહોતું થયું ત્યાં સુધી સંતાનો આખા સમૂહના કહેવાતા, ત્યાં આખો સમાજ ભેગાં થઈને બાળકોને ઉછેરતો હોય. પેઅર બૉન્ડિંગ શરુ થયા, એટલે સંતાનોની ઉછેરવાની જવાબદારી માતાપિતાની આવી ગઈ. હવે આ પેઅરમાંથી એક જુદું પડી જાય તો એકલાં પિતા કે એકલી માતાએ સંતાનને ઉછેરવું પડે. અમેરિકામાં હાલ એજ થઈ રહ્યું છે. સૌથી વધુ સિંગલ પૅરન્ટ અમેરિકામાં છે. બાળકોના ઉછેર બાબતે લગ્નવ્યવસ્થા  ખૂબ ઉત્તમ પુરવાર થાય છે. સિંગલ પૅરન્ટ દ્વારા ઉછેરાયેલા બાળકોની માનસિકતા અલગ રહેવાની તે નક્કી છે. માતાના સ્નેહ અને પિતાના રક્ષણ અને હૂંફ વચ્ચે ઊછરેલા બાળકોની માનસિકતા અલગ હોય તે સ્વાભાવિક છે.

મોટાભાગના મૅમલ પૉલીગમસ(બહુગામી) હોય છે, તેમ માનવજાત બહુગમન કરતું મૅમલ છે. લગ્નવ્યવસ્થા હતી છતાં પૉલીગમી ચાલુ જ હતી, પણ લગ્નવ્યવસ્થા એ મનૉગમી તરફનું પહેલું ચરણ હતું એવું મને લાગે છે. અમુક જગ્યાએ પુરુષો ઘણીબધી સ્ત્રીઓ સાથે લગ્ન કરી પૉલીગમી આચરતા તો ઘણા સમાજોમાં સ્ત્રીઓ બહુ પતિઓ રાખતી. ભારતમાં પણ ઘણા સમાજોમાં બહુપતિત્વ(પૉલીઍન્ડ્રી) ચાલુ હતું. તિબેટ બહુપતિત્વનું  ઉત્તમ ઉદાહરણ છે.

પૉલીગમી જીનમાં હોય છે અને મનૉગમી સામાજિક વ્યવસ્થા છે. બંનેના ટકરાવમાં માનવજાત ફસાઈ ગઈ છે. મનૉગમીમાં એક સ્ત્રી અને એક પુરુષ સંસર્ગ કરતા હોય છે. લગ્ન વ્યવસ્થા દ્વારા હાલ મોટાભાગના દેશોમાં આ પ્રથા કાયદાથી અપનાવાય છે. એક પત્ની કે એક પતિ હોવો તે મનૉગમી.

માનવજાતે હમણાં સુધી પૉલીગમી આચરી છે. મનૉગમી બહુ જૂની વાત નથી. આમ ઐતિહાસિક રીતે જોઈએ તો માનવજાત પૉલીગમસ બહુ લાંબો સમય રહી છે. મજબૂત, વિપુલ રિસોઅર્સ અને હાઈ સ્ટૅટ્સ ધરાવતા પુરુષો અસંખ્ય સ્ત્રીઓ રાખતા. એક પુરુષ ચાર સ્ત્રીઓ રાખે મતલબ બાકીના ત્રણ સ્ત્રી વગર રહી જવાના. હમણાં બ્રિટનમાં એક પુરુષ એની સાથે સાત સ્ત્રીઓ રાખે છે તે જોયું, મતલબ બીજા છ પુરુષોનો ચાન્સ ગયો. આમ ઇવલૂશનની હિસ્ટરીમાં ત્રીજા ભાગના પુરુષો એમના જેનિસ ટ્રાન્સ્ફર કર્યા વગર જ દેવ થઈ ગયા છે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. છતાં મનૉગમી બહુ ઝડપથી ફેલાઈ ગઈ.

જ્યારે આપણે લગ્ન કરીએ ત્યારે વિચારીએ છીએ કે આપણું એક વ્યક્તિ સાથેનું પેઅર બૉન્ડિંગ કાયમ માટે છે. મેરેજ કૉનસેપ્ટની અંદર મનૉગમી ખૂબ ઊંડે ધરબાયેલી છે. છતાં મનૉગમીનો ઇતિહાસ સાવ નવો છે. નેપાળમાં ૧૯૬૩માં મનૉગમી કાયદેસર થઈ. પુરુષોને સેક્સ્યૂઅલ વેરાયટિ અને શૉર્ટ ટર્મ યુનિયનમાં રસ હોય છે, જ્યારે સ્ત્રીઓને એમના બાળકોના ઉછેરમાં ઍક્ટિવ ભાગ ભજવે તેવા હેલ્થી, વેલ્થિ અને હાઈ સ્ટૅટ્સ ધરાવતા પુરુષમાં રસ હોય છે. છતાં આજે મનૉગમી સમાજ પર હાવી થઈ ગઈ છે.

બ્રિટીશ કોલમ્બિયા યુનિવર્સિટીના Joseph Henrich નામના એક વૈજ્ઞાનિકે એક રસપ્રદ સ્ટડી બહાર પાડ્યો છે. હાઈ-સ્ટૅટ્સ ધરાવતા પુરુષો એક્સ્ટ્રા પત્નીઓ મેળવી જતા ક્યારેક ત્રણ કે ચાર. આમ બાકીના લો-સ્ટૅટ્સ પુરુષો માટે સ્ત્રીઓનો દુકાળ વર્તાય. આમ લો-સ્ટૅટ્સ પુરુષો સ્ત્રીઓ માટે બેબાકળા બની જવાના, સાથે સ્ત્રી મેળવવા હિંસક બનતા વાર લાગે નહિ. હેનરીક અને તેના સાથીઓના અભ્યાસમાં ધ્યાનમાં આવ્યું કે પૉલીગમસ સમાજોમાં ક્રાઇમ રેટ વધારે હોય છે. જ્યાં દરેકને સ્ત્રી ઉપલબ્ધ હોય છે ત્યાં પુરુષો એમના કુટુંબ અને સમાજ માટે કામ કરવામાં વ્યસ્ત વધુ જોવા મળે છે. મનૉગમી સમાજ માટે ફાયદાકારક છે. પૉલીગમી નેચરલ સિલેક્શન છે, મનૉગમી ગૃપ સિલેક્શન છે.

૧) મનૉગમીનો પહેલો ફાયદો એ છે કે તે ક્રાઇમ રેટ ઓછો કરે છે. એક પુરુષ ત્રણ કે ચાર સ્ત્રીઓ રાખીને બેઠો હોય તો બાકીના રહી ગયેલા સ્ત્રી પામવા માટે કોઈ પણ જોખમ ખેડવા તૈયાર રહેવાના. અભ્યાસ જણાવે છે કે કુંવારા પુરુષો પોતાનું એક ગૃપ બનાવતા હોય છે અને તે ખૂબ જોખમી અને ગંભીર ક્રાઇમ જેવા કે મર્ડર, રૅપ, સ્ત્રીઓનું કિડનેપિંગ કરતા વિચારતા નથી. પરણેલા પુરુષો આવું ઓછું કરતા હોય છે. મનૉગમીનાં કારણે દરેકને સ્ત્રી મળી રહેતી હોવાથી સિંગલ પુરુષોની સંખ્યા ઓછી થતી હોવાથી ક્રાઇમ રેટ નીચો જાય છે.

૨) મનૉગમીનો બીજો ફાયદો સ્ત્રીઓ અને છોકરીઓ માટે ફાયદાકારક છે. પૉલીગમીમાં એક પુરુષ અનેકવાર લગ્ન કરતો હોય છે. આમ અનેક સ્ત્રીઓ સાથે લગ્નો એક સાથે તો ના થઈ જાય. પહેલી પત્ની અને છેલ્લી પત્ની વચ્ચે ઉમરનો ખાસો તફાવત રહેવાનો. અનમેરીડ સ્ત્રીઓનો સપ્લાય ઓછો હોય ત્યાં ગમે તે ઉંમરનો પુરુષ હોય નવું લગ્ન યંગ એજની સ્ત્રી સાથે જ કરવાનો. આમ પતિ પત્ની વચ્ચે ઉમરનો તફાવત મોટો થતો જવાનો. જુવાન પત્નીને સાચવવી પણ વધારે પડે. લોખંડી પંજો તેની ઉપર ધરી રાખવો પડે. નહી તો કાગડા અને કોયલ જેવું થાય.

મને એક દાખલો યાદ છે. મારું બચપણ વિજાપુરમાં ગુજરેલું. ત્યાં એક હાઈ-સ્ટૅટ્સ ધરાવતા વ્યક્તિ હતા તેમણે નવ વાર લગ્ન કરેલા. તેમની નવમી પત્ની ખૂબ નાની હતી. આ નવમી પત્નીના ઑરમાન દીકરાઓ એમના કરતા મોટા હતા. અરે એમની ઑરમાન પુત્રવધુઓ પણ એમનાથી મોટી હતી. આમ બહુ મોટી એજ ગેપ અવિશ્વાસમાં પરિણમતી હોય છે ત્યાં ડોમેસ્ટિક વાયલન્સ ખૂબ વધી જતું હોય છે.

સામે છેડે મનૉગમીમાં age ગેપ ઓછી થઈ જતી હોય છે. યુવાન સ્ત્રીઓ પર પ્રેશર ઓછું થતું હોય છે. ઓછી થતી જતી એજ ગેપ લોકશાહી અને સ્ત્રી પુરુષ સમાન છે તે મુદ્દા તરફ લઈ જતી હોય છે.

૩) મનૉગમી ઘરેલું શાંતિ લાવે છે. પૉલીગમસ ઘરમાં અનેક સ્ત્રીઓ એક જ ઘરમાં રહેતી હોય છે. એકબીજા સાથે લોહીના સંબંધ ભાગ્યે જ હોય. આમ આ સ્ત્રીઓ વચ્ચે વિખવાદ કાયમ રહેવાના. હિંસા, મર્ડર, કુડકપટથી ભરેલો રજવાડાઓનો ઇતિહાસ આપણે ક્યાં નથી જાણતા? એમાં રાણીઓ વચ્ચેની હરીફાઈઓ જ મુખ્ય હતી. મનૉગમસ મેરેજમાં આવું બધું સાવ ઓછું થઈ જાય તે સ્વાભાવિક છે.

૪) મનૉગમી  પિતા અને બાળક વચ્ચેના સંબંધો માટે ફાયદાકારક છે. પૉલીગમીમાં પુરુષનું ધ્યાન વધારે ને વધારે સ્ત્રીઓ મેળવવા તરફ વધુ હોય છે. મલ્ટિપલ વાઇવ્સના મલ્ટિપલ ચિલ્ડ્રન્સ પ્રત્યે પિતા પૂરતું ધ્યાન આપી શકતો નથી. મનૉગમીમાં પિતા બાળક પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકે છે.

આમ મનૉગમીમાં પુરુષ એક જવાબદાર પિતા અને પતિ બનવા તરફ વધુ ધ્યાન આપી રહ્યો હોય છે. મનૉગમીનો મુખ્ય ગેરફાયદો એ છે કે એના વડે નવી પેઢીમાં મજબૂત જેનિસ પાસ કરવાનો ઉત્ક્રાંન્તિનો મુખ્ય હેતુ સરતો નથી. મનૉગમી અને લગ્નવ્યવસ્થાને લીધે બીમાર, કમજોર, વિકલાંગ, માનસિક વિકલાંગ, માનસિક બીમારીઓથી પીડાતા, ભયાનક રોગો વડે પીડાતા અને દરિદ્ર જે પોતાના સંતાનોનું પોષણ સરખું કરી શકે તેમ ના હોય તેવાં દરેકને સ્ત્રી મળી જતી હોવાથી પ્રજા ધીમે ધીમે એવી બીમાર જેનિસ ધરાવતી વધતી જ જાય છે.

 

 

 

 


 

લાગણીઓના ચેપ. Hard Truths About Human Nature.

લાગણીઓના ચેપ. Hard Truths About Human Nature.

લાગણીઓના ચેપ

શું લાગણીઓ ચેપી હોય છે ? કોઈ કન્યા વિદાયની ઘડી હોય. કન્યા માતાપિતા, ભાઈ, બહેન, સગાવહાલાઓને ભેટીને રડતી હોય, કે વિદાય વસમી લાગતી હોય છે. તો ત્યાં ઊભેલા સહુ રડતા હોય છે. અરે કોઈ અજાણ્યો ત્યાંથી પસાર થતો હોય અને બે ઘડી ખાલી જોવા ઊભો રહી ગયો હોય તો તે પણ ભાવુક બની જતો હોય છે. આપણે આપણી લાગણીઓ, ભાવનાઓ વહેંચતા હોઈએ છીએ અને એનાથી અસર પણ પામતા હોઈએ છીએ. આપણી લાગણીઓ સીધેસીધી વાતો દ્વારા, ફોન પર વાતો કરીને, ઇ-મેલ કરીને, ફેસબુક અને ટ્વિટર પર લખીને કે પછી કોઈ પણ શબ્દ વાપર્યા વગર ફેલાવતા હોઈએ છીએ. અને તેનો પ્રભાવ પણ પડતો હોય છે. કોઈ આપણી સામે હસે તો આપણે તરત અનુકરણ કરીને સામું હાસ્ય ફેંકીએ છીએ. કોઈ રડતું હોય તો ભલે રડીએ નહિ પણ થોડી ઉદાસી તો આવી જ જાય છે અને એને મદદરૂપ થવાની ઇચ્છા જાગે છે.

નાના બાળકોમાં આ ચેપ અટકાવી શકાય તેવો હોતો નથી. અમે બે વર્ષથી વધુ ઉંમરના બાળકોનું પ્લે સેન્ટર ચલાવતા હતા ત્યારે મને અનુભવ છે કે એક બાળક રડવા માંડે તો એક પછી એક બધા રડવા લાગે. શું આવો લાગણીઓનો ચેપ લાગવો ફાયદાકારક હોય છે ?

આ લાગણીઓના ચેપનું વલણ મુખ્યત્વે બીજી વ્યક્તિના ભાવ પ્રદર્શન અને ભાવભંગિમાંની અજાણતાં કે અચેતન રૂપે નકલ કરી ભાવનાત્મક રીતે તેની નજીક જવાનું હોય છે. વિકાસના ક્રમ તરીકે મૂલવીએ તો આ ચેપ સર્વાઇવલ માટે જરૂરી હોય છે. દાખલા તરીકે મૅમલ સમૂહમાં રહેવા ટેવાયેલા હોય છે. ત્યાં કોઈ હુમલાખોર આવે તો ભયની લાગણી ફક્ત એક નહિ પણ આખા સમૂહમાં ફેલાઈ જતી હોય છે, અને પછી આખું ટોળું ભાગી જઈને બચી જતું હોય છે. સિંહ એક હરણની પાછળ પડ્યો હોય તો ફક્ત એકને જ ભય લાગે તો તે ભાગી જાય અને બીજામાં આ ભયની લાગણીનો ચેપ ફેલાય નહિ તો બીજા ઉભા રહે તો મર્યા સમજો.

આમ સમૂહમાં એકને ભય લાગે તો એનો ચેપ બધામાં ફેલાઈ જતો હોય છે જે સમૂહના સર્વાઇવલ માટે અત્યંત જરૂરી છે. શિકાગો યુનિવર્સિટીમાં કરેલા રિસર્ચ પ્રમાણે સંશોધકોએ જોયું કે એક ઉંદર તણાવમાં હોય તો એને જોઇને બીજા ઉંદર પણ તણાવમાં આવી જતા હતા. એક ઉંદરને પીડા થતી હોય તે જોઇને બીજા પણ એવી જ પીડા અનુભવતા હતા. જ્યારે કોઈના દુખ કે પીડા પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ થાય ત્યારે આપણે તેની પીડાનો અનુભવ કરતા હોઈએ છીએ. એના પ્રત્યે તાદાત્મ્ય અનુભવતા હોઈએ છીએ.

આમ લાગણીઓનો ચેપ ખરેખર માનવજાતની સેવા કરતો આવ્યો છે. આપણાં પૂર્વજો ભાષા શીખ્યા હશે તે પહેલા સર્વાઇવલ માટે આ ચેપ એમની ખૂબ મદદ કરતો હશે. મૂળભૂત મૅમલ બ્રેન લિમ્બિક સિસ્ટમનું આ મેકનિઝમ અદ્ભુત છે જેને મનોવૈજ્ઞાનિકો માસ સાઇકૉલોજી કે મોબ સાઇકૉલોજી કે ટોળાની માનસિકતા તરીકે પણ વર્ણવતા હોય છે. આમ હકારાત્મક લાગણીઓનો ચેપ લાગે ત્યાં સુધી તો બરોબર છે. પણ સર્વાઇવલ માટે હાલની પરિસ્થિતિ મુજબ જરૂરી નાં હોય છતાં નકારાત્મક લાગણીઓનો ચેપ જ્યારે આખા સમૂહ કે દેશ કે રાજ્ય કે ગામ કે શહેરોને લાગી જાય છે ત્યારે સામૂહિક હત્યાકાંડો સર્જાય છે અને તેમાં લાખો હજારો નિર્દોષ માર્યા જાય છે.

કુદરતે માનવજાતને બીજા પ્રાણીઓ કરતા બહુ મોટું મનન ચિંતન કરી શકે તેવું કૉર્ટેક્સ આપ્યું છે. લિમ્બિક સિસ્ટમતો બધા સસ્તન પ્રાણીઓ પાસે છે. પણ કૉર્ટેક્સની સાઇઝમાં ફેર હોય છે. આમ સૌથી મોટું બ્રેન વિકાસના ક્રમમાં આપણને મળ્યું હોય ત્યારે એનો પણ ઉપયોગ કરવો જરૂરી છે. પણ આપણે કાયમ ભાવનાઓના પૂરમાં તણાઈ જતા હોઈએ છીએ, તાવ ચડી જતો હોય છે. ક્રિકેટ ફીવર, નિર્મળ બાબા ફીવર આવા તો અનેક જાતના તાવ ચડી જતા હોય છે. અમુક લોકો આ તાવ ચડાવી દેવાના નિષ્ણાત હોય છે અને લોકો પાસે એમનું ધાર્યું કરાવી લેતા હોય છે. આમ આ સામૂહિક સર્વાઇવલ માટે વિકસેલું મેકનિઝમ સમૂહના નુકશાનનું કારણ બને છે.

પ્રેમ, કરુણા, મૈત્રી, ખુશી, સહકાર અને સદ્ભાવ જેવી પૉઝિટિવ લાગણીઓનો ચેપ લાગે અને ફેલાય તો સમૂહ કે સમાજ માટે ફાયદાકારક બને છે. દુખ, વેર, ક્રોધ, હતાશા જેવી નેગેટિવ લાગણીઓનો ચેપ સ્વાભાવિક સમાજ માટે નુકશાન કારક જ હોય. આપણે આનંદિત હોઈએ તો આજુબાજુ બધાને આનંદિત કરી મૂકીએ છીએ. દુખીકે ઉદાસ હોઈએ તો આજુબાજુ બધાને દુખી કે ઉદાસ કરી મૂકીએ છીએ.

આમ સુખ વહેંચવાથી, આનંદ વહેંચવાથી સુખ આનંદ વધે છે, અને દુખ વહેંચવાથી દુખ વધે છે. જોકે દુખ વહેંચવાથી આપણાં દુખે દુખી થનારની સહાનુભૂતિ મળી જાય તેટલો દીલાસાજનક ફાયદો જણાતો હોય છે. ચાલો હું એકલો દુખી નથી બીજા પણ મારા જેવા છે. સર્વાવલ માટે આપણું દુખ કે આપણી તકલીફ બીજાને જણાવવામાં કોઈ વાંધો નથી, ફક્ત ખોટી સહાનુભૂતિ મેળવવાની ટેવ ના પડી જાય તેટલી તકેદારી રાખવી જરૂરી છે.

Read more about EMOTIONAL CONTAGION here…

પ્રેમ, રસાયણોનો ફુવારો. Hard Truths About Human Nature.

પ્રેમ, રસાયણોનો ફુવારો. Hard Truths About Human Nature.

પ્રેમ વિષે ખૂબ લખાય છે. પણ પ્રેમ પેદા કરતા રસાયણો વિષે કશું ખાસ લખાતું નથી. પ્રેમ હૃદયથી થાય છે તેવું માનનારા સમજી લે કે હૃદય ખાલી શરીરમાં લોહી ફેરવનારો પંપ માત્ર છે. જેને આપણે પ્રેમની પરિભાષામાં હૃદય તરીકે ઓળખીએ છીએ તે બ્રેનમાં રહેલા લાગણી અને કલ્પના વિભાગ છે. પ્રેમ માટે કારણભૂત અનેક રસાયણો છે. પ્રે

પ્રેમ સાદી ભાષામાં કહીએ તો કેમિકલ લોચા છે. એ ખાલી નારંગીનો રસ નથી, પણ નારંગી, મોસંબી, કેરી, પાઈનેપલ, એમ જુદાજુદા ફળોના રસનું કૉકટેલ છે. પ્રેમ હંમેશા સુખ આપતો નથી. પ્રેમીઓને દુખી દુખી કરી મૂકવાની એની તાસીર સમજી લેવી જોઈએ. આ તાસીર સમજવા મૅમલ બ્રેનની તાસીર સમજી લેવી જરૂરી છે. પ્રેમમાં કાયમ ચડાવ ઉતાર કેમ થતા હશે ? સતત પ્રેમના સુખમાં કેમ જિવાતું નથી ?

Love triggers Dopamine:  Dopamine એક સુંદર લાગણી છે જ્યારે તમને કોઈ ખોવાયેલી ચાવી જડી જાય. બસ આ ખોવાયેલી ચાવી બ્રેન કાયમ શોધ્યા કરતું હોય છે. પ્રાણીઓ કાયમ ખોરાક અને સમાગમની  શોધમાં ફર્યા કરતા હોય છે. અને જ્યારે આ જરૂરિયાત પૂરી થાય કે તરત ન્યુરોકેમિકલ ડોપમીન મોજું ધસી આવે છે. પણ આ કાયમ મૌજા હી મૌજા નાં હોય. આ મોજું આ ફુવારો બહુ નાનો હોય. મોજું ઊંચે જઈને નીચે પછડાય તે એની જૉબ છે. તમારી જરૂરિયાત ફરી પૂરી કરવા માટે એક તક સૂચવે છે. એટલે આપણને જ્યારે કોઈ ચાવી મળી જાય એટલે આપણે સુખનો અનુભવ કરતા હોઈએ છીએ. પણ આ સુખ કાયમ ટકી રહે, મોજું ઊંચે ચડી રહે નીચે આવેજ નહિ તેવું વિચારીએ છીએ. અહીં માર ખાઈ જઈએ છીએ.

આપણને કોઈ પ્રેમી પાત્ર મળી જાય ત્યારે એનું સુખ કાયમ મળતું રહે તેવી ઇચ્છા ધરાવતા હોઈએ છીએ. પણ સુખનું મોજું કાયમ ઊંચે ચડેલું રહે નહિ, ત્યારે આપણે પ્રેમી પાત્રને બ્લેમ કરતા હોઈએ છીએ કે આ બદલાઈ ગયું છે. ભાઈ કોઈ બદલાઈ જતું નથી નાં આપણે નાં આપણું પ્રેમી. અને એનો અર્થ એવો નથી કે ડોપમીન લાગણી મેળવવા કાયમ પ્રેમીજન બદલતા રહીએ. કહેવાનો મતલબ એટલો જ છે કે કાયમ આ મોજું  ઊંચે ચડેલું રહે તે રીતે આપણે ઈવૉલ્વ થયેલા જ નથી.

Love triggers Oxytocin:  ઑક્સિટોસિન ન્યુરોકેમિકલ વિશ્વાસનું જનક છે. Orgasm સમયે તેનો સ્ત્રાવ થતો હોય છે. જ્યારે પ્રેમીજનનો હાથ હાથમાં લઈએ ત્યારે થોડી માત્રામાં તે સ્ત્રવે છે. પ્રાણીઓ તેમના બચ્ચાને ચાટતાં હોય ત્યારે પણ તે સ્ત્રવે છે. માતા બાળકને ધવરાવતી વખતે એના માથે હાથ ફેરવતી હોય ત્યારે પણ એનો સ્ત્રાવ થતો હોય છે જે અદ્ભુત આનંદ અર્પે છે.

આપણી મનપસંદ રાજકીય પાર્ટી જીતે ત્યારે અને ક્રિકેટ મેચ જીતી જઈએ ત્યારે નીકળતી રેલી અને ધમાલ વખતે પણ આનો સ્ત્રાવ થતો હોય છે. મૅમલ પ્રાણીઓ કાયમ ઑક્સિટોસિન રિલીસ કરતા હોય છે. સગાઓ સાથે અને પોતાના સમૂહ સાથે જોડાણ અનુભવે કે તરત આનો સ્ત્રાવ થવાનો. જે વ્યક્તિ સાથે જેટલું વધારે જોડાણ અનુભવો તેટલો આનો સ્ત્રાવ વધુ થવાનો. More touch, more oxytocin, more trust. પણ હ્યુમન બ્રેન માટે ટ્રસ્ટ ખૂબ કૉમ્પ્લિકેટેડ હોય છે.

આપણી અપેક્ષાઓ પ્રમાણે આપણે કોઈના ઉપર વિશ્વાસ કરતા હોઈએ છીએ, અને આપણી અપેક્ષાઓ એટલી બધી ગૂંચવાડા ભરેલી હોય છે તેનો કોઈ અંદાજ આપણને હોતો નથી. કાળક્રમે આપણું પ્રેમીજન આપણી અપેક્ષાઓ પૂરી કરવા માટે નિષ્ફળ જતું હોય છે. તેમ આપણે પણ એની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે કાયમ સફળ થતા નથી.

આપણાં મૅમલ બ્રેન માટે વિશ્વાસ ગુમાવવો જીવલેણ કટોકટી હોય છે, લાઇફ થ્રેટનીંગ. એક ઘેટું એના ટોળાથી છૂટું પડી જાય તો એનું ઑક્સિટોસિન નીચું ઊતરી જાય છે, અને cortisol ઊંચે ચડી જાય છે. જે એને ભય પમાડે છે. જેથી ઘેટું મોટીવેટ થાય કે કોઈ જીવતું ચાવી જાય તે પહેલા ટોળામાં પાછું જતું રહે. માનવની કોઈ અપેક્ષા પુરી થાય નહીં તો cortisol મૅમલ બ્રેન માટે ઇમર્જન્સી ઊભી કરી દેતું હોય છે. જે સર્વાઇવલ માટે જરુરી હોય છે.

Love triggers serotonin:  માનસન્માન મળે તો અદ્ભુત આનંદ આવતો હોય છે, તેનું કારણ છે સેરોટોનિનનો સ્ત્રાવ. પ્રાણી જગતમાં સામાજિક સર્વોપરિતા સમાગમની સાથે સાથે વંશ વારસોના સર્વાઇવલની તક વધારી દેતું હોય છે. કોઈ સચેતન રીતે લાંબા સમયના લક્ષ્યને લીધે પ્રાણીઓ એકબીજા ઉપર ધાક જમાવે છે તેવું નથી, તેઓ ધાક જમાવે છે કે સિરોટોનિન આનંદ અર્પે છે. જ્યારે કોઈ આપણાં સ્ટૅટ્સ માન મોભાને સન્માને છે ત્યારે આપણે ખુશી અનુભવીએ છીએ.

હાઈ-સ્ટૅટ્સ, માન મોભો સમાગમની તકો વધારી દે છે તે હકીકત છે. પ્રિયજન આપણને માનસન્માન આપે છે. આપણો મોભો વધારે છે. બીજા લોકો આ રીતે સન્માન આપે તેમાં મદદરૂપ પણ થાય છે. પણ આપણું બ્રેન કાયમ વધારે ને વધારે માન સન્માન મેળવીને વધારે ને વધારે સિરોટોનિન આનંદ ઇચ્છતું હોય છે. જેટલું વધારે માન મળે તેટલું વધારે સુખ મળતું હોય છે આમ માન મેળવાની ઇચ્છા વધતી જતી હોય છે. એટલાં માટે લોકો એમના પ્રિયજન પાસે સતત ડિમાન્ડ કર્યા જ કરતા હોય છે. જેટલી ડિમાન્ડ પૂરી થાય તેટલું વધારે માન મળ્યું તેમ સમજાતું હોય છે. બસ અહીં માર ખાઈ જવાય છે. કાયમ અપેક્ષા કે ડિમાન્ડ પૂરી થાય તેવું બને નહિ.

પ્રાણીઓ સમાગમ માટે સાથીની બાબતે ખાસ પસંદગી ધરાવતા હોય છે. Free love is not the way of nature. એક પ્રાથમિક કસોટીમાં ઉત્તીર્ણ થવું સેક્સ માટે જરૂરી હોય છે. માદા સક્રિય રીતે  ફળદ્રુપ હોય ત્યારે પ્રાણીઓ સમાગમ કરતા હોય છે. ફીમેલ ચિમ્પૅન્ઝી દર પાંચ વર્ષે જ સમાગમ કરતી હોય છે. બાકીના સમયમાં તે ગર્ભવતી હોય કે એના બચ્ચાને ઉછેરતી હોય. માદા ચિમ્પૅન્ઝી દર પાંચ વર્ષે હીટમાં આવતી હોય છે. ઑવુલ્યેશન વગર નર ચિમ્પૅન્ઝી માદામાં રસ લેતા નથી. પણ  જ્યારે આ તક ઊભી થાય છે ત્યારે તેઓ કોઈ પણ ભોગે તેને ઝડપી લેવા તૈયાર થઈ જતા હોય છે.

વંશ વારસો પેદા કરવા માટે પ્રોત્સાહક બને તે રીતે હૅપી કેમિકલ ઈવૉલ્વ થયેલા હોય છે. લાખો વર્ષ લાગી કુદરતના રાજમાં બચ્ચા બહુ બચતા નહિ. જાતજાતની બીમારીઓ અને અસલામત, નિષ્ઠુર જંગલના કાનૂન હેઠળ જેટલા વધુ બાળકો પેદા થાય તેટલા સારા તેવું હતું. એમાંથી જે બચ્યા તે ખરા. ભલે આજે બર્થ કંટ્રોલના જમાનામાં તમે બાળકો પેદા કરવાનું બહુ વિચારતા ના હોવ પણ તમારું મૅમલ બ્રેન એ રીતે જ ઇવોલ્વ થયેલું છે કે જેટલા વારસો પેદા થાય તેટલા વધુ સારું. Natural selection created a brain that rewards reproductive behavior with happy chemicals.

પ્રેમ પ્રોત્સાહન છે રીપ્રૉડક્શન માટે. એટલાં માટે તે પુષ્કળ હૅપી રસાયણનો સ્ત્રાવ કરે છે. રીપ્રૉડક્ટિવ બિહેવ્યર માટે સેક્સ સમાગમ ફક્ત એક પાસું છે. પ્રેમ ખૂબ મહત્વનું પાસું છે, તે પ્રેરણા આપે છે જેથી આપણે આપણાં પ્રિયજન આડે આવતા મોટા પહાડોને દૂર કરી શકીએ. અને ઉત્ક્રાંતિનો ક્રમ સચવાય તે માટે વંશ વારસનું  બચવું પણ તેટલું જ મહત્વનું છે. એને માટે જરૂરી છે ઉચ્ચ કોટીના સાથીદાર પર વિશ્વાસ અને ભાવનાત્મક અટૅચમન્ટ. બસ આ બધું ભેગું મેળવવા માટે ન્યુરોકેમીકલ્સ એમની જૉબ કરતા હોય છે બીજું કઈ નહિ. હવે આ કેમિકલ્સ કોઈ ભાષાકીય શબ્દો વાપરવાનું જાણતા નથી, અને આપણે પાગલ પ્રોત્સાહક વર્તણૂક માટે શબ્દો શોધીએ છીએ.

હૅપી કેમિકલ આપણને એવી માહિતી અર્પતા હોય છે કે જેની વ્યાખ્યા કરવી મુશ્કેલ હોય છે. માનો કે ટીવી પર મેચ જોતા હોઈએ. સચિન ૧૦૦મિ સદી પૂરી કરવા જઈ રહ્યો હોય. સ્ટેડિઅમમાં  હજારો લોકો ઉત્તેજિત હોય. આપણે પણ અહીં ઘરમાં ઉત્તેજિત બનીને ખુશીના માર્યા ઝૂમતા હોઈએ. આપણે સમજતા હોઈએ કે હજારો લોકો મારા રિઍક્શનને સમજે છે સાથ આપે છે, ત્યારે શ્રીમતીજીને એમાં કોઈ રસ ના હોય તો એવું  ફીલ થાય કે લાખો લોકો મારી સાથે છે તો આ ઘરના માણસને શું થયું છે ? રાજકારણ, ધર્મ, સ્પૉર્ટ્સ અને બીજી સામૂહિક ઍક્ટિવિટિ ઑક્સિટોસિન સ્ત્રાવ માટે કારણભૂત હોય છે. આપણને એક વિશ્વાસ પેદા થતો હોય છે.

આપણને સુખ અર્પતા કેમિકલ્સ કાયમ જોઈતાં હોય છે. થોડા રૉમૅન્સ દ્વારા જોઈતાં હોય છે થોડા જીવનના બીજા પાસા દ્વારા, નો મૅટર ગમે ત્યાંથી. હૅપી રસાયણનો ફુવારો છૂટે છે અને બંધ થઈ જાય છે, પણ શામાટે તે સમજાઈ જાય તો આપણે ન્યુરોકેમિકલ્સ સિગ્નલ વડે કન્ફ્યૂઝ થવાને બદલે આપણી વર્તણૂક મૅનેજ કરી શકીએ તેમ છીએ. ૨૦૦ મિલ્યન્સ વર્ષની લાંબી દડમજલ કરીને આ મૅમલ બ્રેન વિકસેલું છે. એને તમે સમજી શકો પણ જીતી ના શકો.

હા! તો પોતાની જાતને કે પ્રિયજનને બ્લેમ કરવાની જરૂર જ નથી કે કાયમ હૅપી કેમિકલ્સ સ્ત્રાવ થવાનો જ નથી. May be nothing is wrong; you are just living with the operating system that has kept mammals alive for millions of years. 

ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન.

Photograph of Charles Darwin
Photograph of Charles Darwin (Photo credit: Wikipedia)

ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન  (Evolutionary psychology)

 

ભારતમાં મનોવિજ્ઞાનની બહુ કદર થતી નથી. મનોવિજ્ઞાન વિષય લઈને ભણનારા બહુ ઓછા લોકો હોય છે. મનોવિજ્ઞાનમાં ભારતીયોને ખાસ રસ હોતો નથી કે એનું મહત્વ પણ જણાતું નથી. અને એટલે જ ખૂબ પ્રાચીન સંસ્કૃતિ હોવા છતાં આપણે કોઈ ફ્રૉઈડ જેવો મનોવિજ્ઞાની પકવી શક્યા નથી. ફ્રૉઈડને આધુનિક મનોવિજ્ઞાનનો જનક કહેવામાં આવે છે. એના પછી ઍડલર, પછી કાર્લ જુંગ, આપણે આમાંનો કોઈ હજુ સુધી પકવી શક્યા નથી, ઇચ્છા પણ લાગતી નથી.

આટલાં મોટા ગુજરાત રાજ્યમાં સાઇકાયટ્રિસ્ટ કેટલા? કૉલિજમાં આર્ટસનાં વિદ્યાર્થી નાછૂટકે મનોવિજ્ઞાન લેતા હોય છે. આપણાં લેખકો, પત્રકારો પણ મનોવિજ્ઞાન વિષે ખાસ લક્ષ ધરાવતા નથી હોતા. આપણી કૉલિજમાં કોઈ જાતનું મનોવૈજ્ઞાનિક રિસર્ચ થતું નથી. પશ્ચિમના દેશો આ વિષે ખૂબ સંશોધન કરતા હોય છે. બહુ બહુ તો ભણવા ખાતર મનોવિજ્ઞાન ભણી લઈએ છીએ, પણ નવું એમાં કશું ઉમેરી શકતા નથી. અરે લેટેસ્ટ અપડેટ થયેલું મનોવિજ્ઞાન પણ કૉલિજોમાં ભણાવતા હશે કે કેમ?

સમાન્યતઃ શરૂઆત તો આપણે કરીએ છીએ, પણ પછી શું થાય છે કે બધું ઠપ્પ. ૨૫૦૦ વર્ષ પહેલા બુદ્ધે થોડા મનોવૈજ્ઞાનિક સત્યો કહેલા. ન્યુઅરૉ-સાયંસનાં ખાં લોકોના બુદ્ધ આજે પણ પ્રિય છે. આપણાં દરેક બુદ્ધીજીવીને જરા આગળ પ્રગતિ જણાય કે આધ્યાત્મિકતાનો આફરો ચડી જતો હોય છે, અને પ્રખર ચિંતક બનવાનો રોગ લાગી જતો હોય છે, આત્મસાક્ષાત્કારની પળોજણમાં એમની અંદર રહેલા પ્રતિભાના આત્માને ભૂલી જતા હોય છે.

એવી જ રીતે આપણે ઉત્ક્રાંતિના વિષયને પણ બહુ અગત્યતા આપતા નથી. આપણે ઉત્ક્રાંતિમાં ખાસ માની શકતા નથી. એટલે જ આપણે ડાર્વિન પકવી શક્યા નથી. આપણી પુનર્જન્મની ધારણા, લોક પરલોક, સ્વર્ગ, નર્ક, મોક્ષ વગેરે ધારણાઓ ઉત્ક્રાંતિના ક્રમ, વિકાસના ક્રમને માનવા ઇનકાર દેતી હોય છે. એક કોષી જીવથી માંડીને આજના મનુષ્ય સુધી બહુ લાંબી મજલ આપણે કાપી છે. પણ આપણે માની શકતા નથી. એક કોષી જીવનથી માંડીને આજે આધુનિક મનુષ્ય તરીકે જન્મ્યા તે પહેલાના તમામ જીવન વિશેના અનુભવ આપણે જીનમાં(Gene) સાથે લઈને જન્મ્યા છીએ તેને ઉજાગર કરવાનું વિજ્ઞાન એટલે ઇવલૂશનરી  સાઇકૉલોજી, ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન.

 ઇવલૂશનરી સાઇકૉલોજી મનોવિજ્ઞાન કરતા કંઈક વધુ છે. એમાં ખાલી મનોવિજ્ઞાન નથી. Human Nature, Social sciences, Psychology, physiology, evolutionary physiology, computational theory of mind, cognitive psychology, evolutionary biology, behavioral ecology, artificial intelligence, genetics, ethology, anthropology, archaeology, biology, zoology, sociobiology, આ બધું આમાં લક્ષ્યમાં લેવામાં આવે છે. એમાં ઇવલૂશનરી સાયન્સ, સાઇકૉલોજી અને ન્યુરોસાયન્સ પણ સમાયેલું છે. ઇવલૂશનરી સાઇકૉલોજીનાં મૂળિયા ડાર્વિનના થીઅરી ઑફ નૅચરલ સિલેક્શનમાં સમાયેલા છે. ડાર્વિને એના પુસ્તકમાં શું ભાખેલું તે જોઈએ,

“In the distant future I see open fields for far more important researches. Psychology will be based on a new foundation, that of the necessary acquirement of each mental power and capacity by gradation.”

—Charles Darwin, The Origin of Species, 1859, p. 449.

૨૦મી સદીના અડધમાં W.D.Hamilton નામના વૈજ્ઞાનિકે ૧૯૬૪મા Inclusive Fitness ઉપર એક રિસર્ચ પેપર પ્રસિદ્ધ કર્યું હતું અને Robert Trivers નામના વૈજ્ઞાનિકે ૧૯૭૨માં Reciprocity અને Parental investment એવી બે થીઅરી આપી જેણે મનોવિજ્ઞાનમાં ઉત્ક્રાંતિ વિષે વિચારવા વૈજ્ઞાનિકોને મજબૂર કરવાનું શરુ કર્યું. માનવ પોતાના જેનિસ(genes) દ્વારા એના અનુભવો સંતાનોમાં ટ્રાન્સ્ફર કરતો હોય છે. હેમિલ્ટનની થીઅરીએ માનવમાં પરોપકારની વૃત્તિ, આત્મબલિદાન, સ્વબલિદાનની ભાવના કઈ રીતે વિકસી તેનું કારણ  શોધી કાઢેલું. પરોપકાર, પરમાર્થ બલિદાન સાથે સ્વાર્થની ભાવના પૂર્વજો પાસેથી વારસામાં મળતી હોય છે. ઘણી જાતો પ્રજાતિઓ પુષ્કળ વારસો પેદા કરતી હોય છે અને કેટલીક જાતિઓ પ્રજાતિઓ ઓછા વારસદાર પેદા કરતી હોય છે. સર્વાઇવલની બધી ટેક્નિક છે. ઓછા પણ ખૂબ મજબૂત વારસો પેદા કરવા અથવા વધુ સંખ્યામાં પેદા કરવા જેથી સર્વાઇવ થઈ જવાય.

નૅચરલ સિલેક્શન, સેક્સ્યૂઅલ સિલેક્શન, અડૉપ્શન બધું આમાં આવરી લેવાય છે. આપણાં પૂર્વજો કેવી રીતે કઈ કઈ નવી ટેક્નિક વિકસાવીને સર્વાઇવ થયા હશે તે તમામ અનુભવો જેનિસ(Genes-જનિન તત્વ) દ્વારા આપણને મળતા જ હોય છે. અને હાલના આપણાં અનુભવો આપણે આપણાં સંતાનોમાં આપણે ટ્રાન્સ્ફર કરતા હોઈએ છીએ. આમ ઇવલૂશનરી સાઇકૉલોજીનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે.

પ્રાણીઓની વર્તણુકનો ખૂબ અભ્યાસ થઈ રહ્યો છે. કારણ આપણે પણ એક રીતે પ્રાણી જ છીએ. પ્રાણીઓ પાસેથી આપણને લિમ્બિક સિસ્ટમ(Limbic system) મળેલી છે. લિમ્બિક સિસ્ટમ ન્યુરોકેમિકલ્સ છોડે છે. લિમ્બિક સિસ્ટમ શબ્દોની ભાષા જાણતી નથી, એની ભાષા ન્યુરોકેમિકલ્સ છે. પ્રાણીઓ પણ હર્ષ શોક, પીડાની લાગણી અનુભવી શકે છે. ઉત્ક્રાંતિના ક્રમમાં લાખો કરોડો વર્ષો થયા છે માનવ અવસ્થાએ પહોચતા. જેથી લાખો કરોડો વર્ષોના અનુભવો આપણાં જીનમાં છે. માનવીય વર્તણૂક ઉપર આ બધાની શું અસર પડતી હોય છે તેનો સમાવેશ અને અભ્યાસ આમાં થતો જ હોય છે.

હું પુનર્જન્મમાં માનતો નથી, કે હું ફરી જન્મ લઈશ, પણ મારા જીન(Gene) મારા ત્રણ દીકરાઓમાં છે. એ રીતે મારો પુનર્જન્મ થઈ ચૂક્યો છે. પણ એક સમયે આ જેનિસ(Genes) જીવ જંતુ, સરીસર્પ, પશુ, એપ્સ અને આદિમાનવ હશે. આજે મારામાં આધુનિક માનવ તરીકે લાંબી મજલ કાપીને ઉપસ્થિત થયા છે, અને આમ આગળ વધતા જશે, નવી નવી પરિસ્થિતિઓને અનુકૂળ થતા જશે, યેનકેન પ્રકારે સર્વાઇવ થતા જશે, અને તમામ અનુભવો સાથે આગળ વધતા જશે, ઇમ્પ્રૂવ થતા જશે. એટલે જ મારી રીતે ઇવલૂશનરી સાઇકૉલોજીને જન્મોજન્મના સંસ્કારનું વિજ્ઞાન સમજુ છું.

 

ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન