Category Archives: Psychology

ચાર આદ્ય સત્યો.

ચાર આદ્ય સત્યો.

બુદ્ધે ચાર આર્ય સત્યો કહેલાં. ૧) દુઃખ, ૨) સમુદય ૩) નિરોધ ૪) માર્ગ. દુઃખ છે તો દુઃખનું કારણ છે, કારણ છે તો નિવારણ છે અને નિવારણ માટે માર્ગ છે.

હવે મારા બહુ બધા અગણિત શિક્ષકોના કારણે અને મારા સતત ચાલતા દોડતા રહેતા બ્રેન ન્યુરોન્સના પ્રતાપે મને પણ અલગ અલગ ચાર આદ્ય સત્યો ધ્યાનમાં આવ્યા છે.

૧) સમૂહ : Group માનવી સમૂહમાં જીવવા ઉત્ક્રાંતિ પામેલો છે, અને સમૂહનો એક વડો હોય.

૨) માન મોભો : States માનવી સ્ટેટસ સિકીંગ એનિમલ એટલે માન મોભો ઇચ્છતું પ્રાણી છે.

૩) જીવન : Survival માનવીને કોઈ પણ ભોગે જીવવું હોય છે એટલે કે બચવું હોય છે.

૪) વારસો : Sexual reproduction માનવીમાં પોતાની એક પ્રતિકૃતિ પાછળ મૂકતા જવાની પ્રબળ ભાવના હોય છે. વારસદાર મૂકતાં જવાની પ્રબળ કુદરતી ભાવના હોય છે.

બુદ્ધે આર્ય સત્યો કહ્યા હું તમને આદ્ય સત્યો કહું છું, જોકે મેં શોધ્યા નથી પણ ધ્યાનમાં આવ્યા છે. આ ચાર આદ્ય સત્યો પાછળ એની આખી જીંદગી દોડ્યા કરતી હોય છે. એમાં પાછી હરીફાઈ ખૂબ છે એટલે દુઃખ પામે છે, એના કારણો શોધે છે, એના નિવારણ માટે માર્ગ શોધે છે.

સમૂહમાં રહેવાથી સર્વાઇવ થવાની તકો વધી જાય એટલે મોટાભાગે બધા સસ્તન પ્રાણીઓ સમૂહમાં રહે છે. સમૂહ હોય એટલે સમૂહનો એક વડો હોય જે આખા ટોળા પર નજર રાખે એની કાળજી લે એનું રક્ષણ કરે. એકલા બધુ થાય નહિ એટલે એમ કરવામાં બીજા નંબરની હરોળ તૈયાર હોય કે કરવી પડે. માન મોભો ઈચ્છતું પ્રાણી છે એટલે નંબર વન બનવાના પ્રયત્ન સતત ચાલતા હોય એટલે ચાન્સ મળે બે નંબર પરથી પહેલા નંબરે કૂદકો મારવાના ચાન્સ શોધતા જ રહેવાના. એટલે સમૂહનાં વડાને સૌથી મોટું જોખમ એના ખાસમખાસ મદદગાર બે નંબરના લોકો તરફથી જ હોય છે.

બીજા સસ્તન પ્રાણીઓ પાસે લાર્જ કોર્ટેક્સ જે ચિન્તન મનન અને ભાષા માટે જવાબદાર છે તે ખૂદ નાનું છે એટલે એમની સામાજિક વ્યવસ્થા બહુ જટિલ નથી. ટોળામાં રહેવાનું અને ટોળા બહાર એકલા પડી જવાય તો રડવાનું. માનવી પાસે સૌથી વધુ મોટું લાર્જ કોર્ટેક્સ છે એટલે એની સોશિઅલ હાઈઆરાર્કી જટિલ છે કોમ્પ્લેક્સ છે, એને ઊંચા નીચાની સામાજિક સમજણ કહી શકાય. બે માનવ મળે એટલે કમ્પેરીજન શરુ થઈ જ જાય કોણ મોટો કે ઉંચો છે કોણ નીચો. મેરી શર્ટ સફેદ હૈ કી તુમ્હારી? આ બધું આપણા ડીએનએમાં છે. પ્રશ્ન એ હતો કે માન મોભો ના હોય, પ્રથમ સ્થાન ના હોય તો સ્ત્રી મળતી નહિ, ખોરાક મળતો નહિ માટે માન મોભો ઈચ્છતું પ્રાણી બન્યું.

કોઈ પણ ભોગે બચવું એ કુદરતી ભાવના છે. બચો નહિ તો જીવનચક્ર ચાલે નહિ. વારસો મૂકતાં જવાનું પણ કુદરતી ભાવના છે એના વગર સંસારનું ચક્ર ચાલે નહિ. એટલે પહેલા બે આદ્ય સત્યો લાખો કરોડો વર્ષોના અનુભવ વડે અપનાવેલા છે બાકીના બે આદ્ય સત્યો કુદરતી રીતે મળેલા છે.

બસ આ ચાર આદ્ય સત્યોની આસપાસ માનવી આખી જીંદગી રમ્યા કરતો હોય છે. એના વેપાર ધંધા, ઉદ્યોગ, રાજકારણ, સામાજિક જીવન હોય કે ધર્મ હોય કે અધ્યાત્મ તમામ આ ચાર આદ્ય સત્યોની પૂર્તિ કરવા વિકસેલા હોય છે. આ ચારે આદ્ય સત્યો એકબીજામાં અદ્ભુત રીતે ગૂંથાયેલા હોય છે. આમાંથી એકેયને ઉપરનીચે ગોઠવાય તેમ નથી. ચારેચાર સમાંતર ગોઠવવા પડે. તમામને પ્રથમ નંબરે રાખવાં પડે તેવાં છે.

આપણે સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલા છીએ અને સમૂહનો એક વડો હોય એ હકીકત છે. પણ માનવી બીજા પ્રાણીઓ જેવો નથી. એ બુદ્ધિશાળી પ્રાણી છે માટે એક સાથે અનેક સમૂહોમાં જીવતો હોય છે. પહેલો સમૂહ એનું કુટુંબ, પછી એની કોમ, ગામ, વ્યવસાય, પ્રદેશ, એની ભાષા, એની રહેણીકરણી, એનો ધર્મ, દેશ, એના શોખ, એની વિચારધારા વગેરે વગેરે એવા તો અનેક સમૂહોમાં એક સાથે જીવતો હોય છે. પાછા આવા અનેક સમૂહોના વડા હોય, એવા અનેક સમૂહોમાં એની પણ પ્રથમ આવવાની ભાવના હોય, એવા તો અનેક સમૂહોમાં એને પોતાની ઓળખ પ્રાપ્ત કરવાની હોય. એવા તો અનેક સમૂહો દ્વારા એને લાભ પણ જોઈતા હોય, રક્ષણ જોઈતું હોય. એવા તો અનેક સમૂહોમાં એને વડા બનવું હોય. ભલે માધ્યમિક શિક્ષક સંઘનો પ્રમુખ હોય પણ ઘરમાં એનું કશું ચાલતું ના પણ હોય. કંપનીનો માલિક હોય પણ એનો નાનો ભાઈ એનું કહ્યું માનતો ના હોય.

એક ભરવાડ ઘેંટાઓનું ટોળું લઈને જતો હોય તો આપણે માનીએ કે ભરવાડ ઘેંટાઓને દોરતો હશે. મોટાભાગે તો એવું જ હોય છે કે ભરવાડ ઘેટાઓને દોરતા હોય છે. મનફાવે તેમ વાળી શકતાં હોય છે. મનફાવે તે રસ્તે લઇ જતાં હોય છે. પણ પણ અને પણ ઘણીવાર એવું બને કે ઘેટાં ભરવાડને દોરતાં હોય. ઘેટાંઓને જ્યાં જવું હોય ત્યાં ભરવાડ એમને દોરતો હોય. કારણ ભરવાડને પ્રથમ નંબરે રહેવું છે. એને સમૂહનાં વડા બનવું છે તો ઘેટાં દોરે તેમ ચાલો નહી તો ઘેટાં એને ઉથલાવી બીજાને ભરવાડ તરીકે નિયુક્ત કરી દેશે. આપણે સમજીએ છીએ ભરવાડ હોશિયાર છે, ચાલક છે ધૂર્ત છે નિર્દોષ ઘેટાંઓને એની મરજી મુજબ દોરે છે પણ હકીકતમાં આ ઘેટાં પણ બહુ ધૂર્ત ખેલાડી હોય છે. એ એમની મરજી મુજબ ભરવાડ પસંદ કરતાં હોય છે. એમની મરજી મુજબ ભરવાડ એમને દોરે નહિ, ચાલે નહિ, તો એને શિંગડે ચડાવી ઉલાળી મૂકતાં જરાય વાર ના કરે. ભરવાડને લાગે કે હું ઘેટાંને દોરી રહ્યો છું પણ એ વહેમમાં હોય છે. ઘેટાં એને દોરતાં હોય એવું પણ બને. ઘેટાંના આગવા લાભ હોય છે. એમને એક મોટા સમૂહની ઓળખ જેને આપણે આઇડેન્ટિટી કહીએ છીએ તે જોઈતી હોય છે.

પરસ્સ્પર છે ઘેટાં અને ભરવાડના લાભાલાભ. પરસ્પર છે સ્વાર્થ ઘેટાં અને ભરવાડના. ભરવાડ અને ઘેટાઓ એકબીજાને રમાડતા હોય છે. મારા રેશનલ મિત્રો અકળાઈ જતાં હોય છે ભરવાડોની ધૂર્તતા જોઈ પણ એમને ઘેટાઓની ચાલાકી દેખાતી નથી. એમનો જીવ બળતો હોય છે કે ઘેટાઓ નાહકના રહેસાઈ જતાં હોય છે એટલે અને એવું બનતું પણ હોય છે, પણ બધા ઘેંટા મૂર્ખ નથી હોતાં. અમુક તો ભરવાડને મૂર્ખ બનાવી જતાં હોય છે.

દાખલા તરીકે કોઈ સંપ્રદાય હોય કે કોઈ રાજકીય પક્ષ જ કેમ ના હોય, એના સ્થાપનાર કે વડાને એનો સમૂહ મોટો ને મોટો કરવો હોય છે. કારણ જેટલું મોટું એટલી સર્વાઈવ થવા માટે સેફ્ટી વધારે. મોટા સમૂહને નાનો સમૂહ પહોંચી ના શકે તે સ્વાભાવિક છે. ૨૦૦ કિલોના છ ફૂટીયાને ૬૦ કિલોનો પાતળિયો પહોંચી ના શકે. ૧૦૦૦ કરોડના અબજ સભ્યો ધરાવતાંને કોઈ હાલી મવાલી પક્ષ કઈ રીતે પહોંચી શકે? મારા કુટુંબના મારા સંપ્રદાયના કે પક્ષના કે માનનારાઓની સંખ્યા વધુ ને વધુ જોઈએ તો સર્વાઈવ થવા માટે બહુ વાંધો આવે નહિ. અચ્છા એમાં જોડાનારાઓ કેમ જોડાતાં હોય છે? એમને પણ મોટા વધુને વધુ મોટા સમૂહના સભ્ય હોવાથી વધુને વધુ સલામતી લાગતી હોય છે. સમૂહની ઓળખ પોતાની ઓળખ તરીકે વાપરી શકતા હોય છે. હું ફલાણા પક્ષનો કાર્યકર છું કે ફલાણા સંપ્રદાય કે ધર્મનો છું, એ બહાને આઇડેન્ટિટી મળે સાથે સાથે સલામતી પણ મળે. આ બધો એનિમલ બ્રેનનો ખેલ છે.

દાખલા તરીકે કોઈ સંપ્રદાય કે રાજકીય પક્ષ ધનાધન પ્રગતિ કરતો હોય કે કોઈ સ્પેશલ વિચારધારા હોય પૂર જોશમાં ફેલાતી હોય કે ઉત્થાન પામતી હોય ત્યારે લોકોનો ધસારો એના તરફ વધી જતો હોય છે. ઉગતા સૂર્યને સહુ પૂજતાં હોય છે. કારણ એમને ખબર હોય છે કે આ સમૂહ વધુને વધુ મોટો થઈ રહ્યો છે ત્યાં સલામતી વધુ છે, માટે છોડો નાની ટોળી ને જોડાઈ જાઓ મોટી ટોળીમાં. ત્યાં વધુ સલામતી છે ત્યાં મોટી આઇડેન્ટિટી છે. મેં આ બધું જોયું છે, અનુભવ્યું છે, વિશ્લેષણ કર્યું છે. હજારો મરઘાં ઝાપટી જનારા આજે ડુંગળી લસણ ખાનારાઓને ધિક્કારતા થઈ ગયા છે. એમને અધ્યાત્મ સાથે કોઈ નિસ્બત નથી. અરે અધ્યાત્મ એટલે શું એજ એમને ખબર નથી. એમનું અધ્યાત્મ ખાલી ડુંગળી ના ખવાય એટલામાં જ સમાઈ ગયેલું છે. અધ્યાત્મ સાથે એમને કોઈ લેવા દેવા જ નથી. કાલે કોઈ ડુંગળી લસણ, મરઘાં ખાનારાં સંપ્રદાયનું જોર વધી જાય કે એવા સંપ્રદાયનો સમૂહ અતિ વિશાળ થઈ જાય કે એમને લાગે કે અહિ આપણી વધુ સલામતી છે કે અહિ આપણને વધારે ઓળખ મળે તેમ છે તો આ લોકો એમાં જોડાઈ જશે એ નક્કી. એમને ના પક્ષની પડી છે, ના ધર્મની પડી છે, સિદ્ધાંત નામની કોઈ ચીજ હોય છે એ તેમને ખબર નથી, આદર્શનો અર્થ તે લોકો કદાપી જાણતા નથી, નૈતિકતા શું કહેવાય તે અમને ખબર નથી, ધ્યાન શું, ધારણા શું એમને ખબર નથી, ધર્મ અને સંપ્રદાય એમના માટે તમામ અનૈતિકતા આચરવાના લાયસન્સ માત્ર છે. They are simply mammal animals. આપણને એમના પ્રત્યે કોઈ રોષ નથી, એમને આપણી પ્રત્યે રોષ રાખવાની છૂટ છે. હહાહાહા.

અરે ! આજે તમે કોઈ પક્ષ, ધર્મ, સંપ્રદાય કે વિચારધારા નવી ઉભી કરશો તો તમારી હયાતી સુધી ઠીક ચાલશે પણ પછી આ ઘેટાં જે તમે ભેગાં કરેલાં એ એને એમની રીતે ઢાળી દેશે. મહાવીર સાથે એજ થયું, બુદ્ધ સાથે એજ થયું છે, મહંમદ સાથે પણ એજ થયેલું છે, જિસસ સાથે પણ એમજ સમજવું. મહાવીરે એમની જીંદગીમાં કદી કોઈની પૂજા નથી કરી, પ્રાર્થના નથી કરી, ના દેરાસર બનાવ્યાં, ના મંદિર બનાવ્યાં અને આજે એમનાં જૈન ઘેટાં જુઓ? આજે ના બુદ્ધનો બૌદ્ધ ધર્મ રહ્યો છે ના મહાવીરનો જૈન, ના મહમંદનો ઇસ્લામ, ના જિસસનો ક્રિશ્ચિયન, ના વેદોનો હિંદુ, ના નાનકનો શીખ, ઘેટાં એમની રીતે બધું બદલી નાખતાં હોય છે.

હા તો મિત્રો બુદ્ધે ચાર આર્ય સત્યો કહેલાં, દુઃખ, સમુદય, નિરોધ અને માર્ગ. હું તમને ચાર આદ્ય સત્યો કહું છું, સમૂહ, માન-મોભો, જીવન અને વારસો. આ ચાર આદ્ય સત્યોની પાછળ દોડતો માનવી છેવટે ચાર આદ્ય સત્યોને ઓળખી, ચાર બુદ્ધના આર્ય સત્યોની સમજ કેળવી છેલ્લા આર્ય સત્ય માર્ગને મેળવવા પોતાનો દીવો પોતે બને, “અપ્પ દીપ્પ ભવઃ” એજ એના શાંતિ અને કલ્યાણનો માર્ગ બનશે. :- ભૂપેન્દ્રસિંહ રાઓલ, સાઉથ એબિંગન્ટન, પેન્સિલવેનિયા, યુએસએ. ૨૪ ઓગષ્ટ, ૨૦૧૯…

 

પાંદડું હોય કે માનવી ખરે પછી જ સડે

11267706_10205074809042573_1309709803_n

મિત્રો આપણે સ્કૂલમાં ભણતા ત્યારે ગુજરાતી વિષયમાં કોઈ પ્રખ્યાત લેખકની નવલકથાનું એકાદ પ્રકરણ હોય, કોઈ ટૂંકી વાર્તા કે કવિતા પાઠ રૂપે હોય. તે આપણે બધા ભણતા. લેખક તો જે કહેવા માગતાં હોય તે વાત જુદી છે પણ શિક્ષકશ્રી પોતાની માનસિકતા મુજબ એના અર્થ સમજાવતા. એનો એકાદ ફકરો કે અમુક પંક્તિઓ મુકીને પૂર્વાપર સંબંધ આપી સમજાવો તેવા પ્રશ્નો પરિક્ષામાં પુછાતાં.. સ્કૂલમાં હતો ત્યાં સુધી ગુજરાતીના વિષયમાં મારા સૌથી વધુ માર્ક્સ વર્ગમાં આવતા. પરીક્ષાના પરિણામો લઈ ક્લાસ ટીચર આવે અને કયા વિષયમાં કયા વિધાર્થીના હાઈએસ્ટ માર્ક્સ આવ્યા તે સૌથી પહેલા જણાવતા. ગુજરાતી અને ઈતિહાસ વિષય આવે એટલે શિક્ષક બોલે તે પહેલા બીજા મિત્રો રાઓલ રાઓલ એમ બોલી ઉઠતા.

 

 

આજે ફરી તે દિવસો યાદ આવ્યા છે. ચાલો આપણે સહુ સ્કૂલનાં દિવસો ફરી પાછા માણીએ.

ઉપર આપણા ગુજરાતના બહુ સારા ચિંતક ગણાતા પદ્મશ્રી એવોર્ડ મેળવનાર લેખક શ્રી ગુણવંત શાહની રચના છે. એના ઉપર વિથ રીસ્પેક્ટ ટિપ્પણી કરવી છે. ટિપ્પણી એટલે નકારાત્મક ટીકાનાં અર્થમાં લેવું નહિ. કારણ ટીકા એટલે આપણે નકારાત્મક જે તે વિષયનો વિરોધ જ સમજી બેઠાં છીએ. ટીકા કે ટીપ્પણી નો અર્થ એવો થાય કે લેખક જે સમજતા હોય, મારી સમજ પ્રમાણે અર્થ આવો છે. એમાં લેખકનાં અર્થ સાથે સહમતી પણ હોય અને અસહમતી પણ હોઈ શકે. લેખકના અમુક અર્થ સાથે સહમતી સાથે અમુક અર્થ સાથે અસહમતી પણ હોઈ શકે. ચાલો હવે ઉપરની રચના માટે મારી ટીપ્પણી.

“પાંદડું ખરી પડે પછી સડે છે,

પુષ્પ ખરી પડે પછી સડે છે.”

બરોબર છે. ખરી પડવું મતલબ મૃત્યુ. પાંદડું અને પુષ્પ ખરી પડે મતલબ એના મૂળિયાથી જુદા પડ્યા અને ખરી પડ્યા મતલબ હવે એમનો જીવનકાળ પૂરો થયો પછી કુદરતના રીવાજ મુજબ સડી જઈને રિસાયકલ થઈ જવાનું મતલબ પંચમહાભૂતમાં મળી જવાનું. દરેક વસ્તુ રિસાયકલ થઈ જાય તે કુદરતની મહત્વની પ્રક્રિયા છે. કોઈ વહેલી થાય કોઈ મોડી પણ રિસાયકલ તો થઈ જ જાય. ફન્ગાઈ જેને આપણે ફૂગ કહીએ છીએ તે ઝાડપાન, લાકડાનું રિસાયકલ કરી નાખે છે. જીવજંતુ, પ્રાણીઓ એમાં મનુષ્યો પણ આવી જાય તેમના મૃતદેહમાં કીડા પડી સડી જાય છે અને તેનું રિસાયકલ થઇ જાય છે. મતલબ મૃત્યુ પછીની પ્રક્રિયા છે સડવાનું. આપણે મનુષ્યોએ આપણા મૃતદેહોની નિકાલ વ્યવસ્થા શોધી કાઢી છે. માટે સડવાની પ્રક્રિયા દેખાતી નથી. છતાં કોઈ કારણસર લાશ પડી રહે તો એમાં કીડા પડી જાય છે તે હકીકત છે.

“માણસ સડી જાય પછી ખરે છે આવું શા માટે?”

આમ તો ખોટી વાત છે. માણસ પણ ખરી જાય, મૃત્યુ પામે પછી જ સડે છે, જો તમે બાળો કે દાટો નહિ તો. જો કે દાટો ત્યારે સડે જ છે પણ જમીનની અંદર હોવાથી દેખાય નહિ તે વાત જુદી છે. કદાચ શાહ સાહેબે ભાવનાત્મક રીતે લખ્યું હશે કે માણસ મનથી સડી જાય પછી ખરે છે. બાકી પુષ્પ, પાંદડું અને માનવી બધા પહેલા કમજોર પડે છે, કરમાઈ જાય છે. માનવી વૃદ્ધ બને છે તે પણ કરમાઈ જાય છે. પછી બધા ખરી પડે છે અને પછી સડી જઈને રિસાયકલ થઇ જાય છે. માનવી વૃદ્ધ બનતા મનથી કમજોર પડી જાય, શરીરથી કમજોર પડી જાય તેમ પુષ્પ અને પાંદડું પણ કમજોર પડે જ છે. રમણ પાઠક જેવા માનવીઓ મનથી પણ કદી કમજોર પડતા નથી. ઘણીવાર સારા વિદ્વાન લેખકો સારા Quote કોટ લખવાની લ્હાયમાં અવાસ્તવિક વાતો લખી નાખતા હોઈ શકે છે. માનસિક રીતે સડેલો માનવી તો જુવાનીથી જ સડેલો હોય છે. ઘરડો થાય પછી સડે તે વાતમાં માલ નથી. અને શારીરિક રીતે માનવી ઘરડો થાય એટલે કમજોર પડે પણ સડવાની પ્રક્રિયા તો મૃત્યુ પછી જ જૈવિક રીતે થાય. એટલે માણસ સડી જાય પછી ખરે છે તેવું નથી હોતું માણસ પણ પાંદડાંની જેમ ખરી પડે પછી જ સડતો હોય છે.

“હે પ્રભુ !

સ્વજનો મારી દયા ખાય તે પહેલાં તું મારી એક દયા કરજે. જીવનને સમજવામાં હું ભલે મોડો પડ્યો પરંતુ મૃત્યુને પામવામાં મોડો ન પડું એટલી કૃપા કરજે.”

સ્વજનોનું એક કામ તો મુખ્ય જ હોય છે કે આપણી દયા ખાવી. એટલે એ બધી ચિંતા કરી શું કામ દુબળા થવું? જીવન બહુ જટિલ વસ્તુ છે. આપણા બ્રેન બહારની અમુક બાબતો હોય છે. એટલે જીવનને સમજવામાં મોડા પડવું તે સ્વાભાવિક છે. ભલા ભલા કહેવાતા જ્ઞાનીઓ જીવનના ચક્કરને સમજી શકતા નથી. ભલે મોડા પડ્યા, સમજ્યા છો એવું લાગતું હોય તો પણ બહુ કહેવાય. અને મૃત્યુ તો એના સમયે જ આવશે. એક બહુ મહત્વની વાત છે હું તો નાસ્તિક છું પ્રભુ વગેરેમાં માનતો નથી પણ તમે માનતા હો તો પ્રભુ જો ખરેખર એના ગુણોમાં અસ્તિત્વ ધરાવતો હોય તો તે કદી કોઈના ઉપર કૃપા કરે નહિ, ક્રુરતા પણ કરે નહિ. પ્રભુ નાં તો દયાળુ છે નાં ક્રૂર છે. પ્રભુ મારી ફેવર કરે અને મારી ફેવર કરવા જતા તમારી ફેવર નાં કરે તો તે પ્રભુની વ્યાખ્યામાં આવે જ નહિ. આવો પ્રભુ મને તો માન્ય નથી. એટલે શાહ સાહેબ તમારો પ્રભુ તમારી મદદમાં આવવાનો નથી કે કૃપા કરવાનો નથી.

જેમ ઉંમર થવા લાગે તેમ મોત પ્રત્યે જાગૃતિ વધતી જતી હોય છે. બક્ષીબાબુ પણ પાછલી અવસ્થામાં મોત વિષે ખૂબ લખ્યા કરતા હતા. કારણ હવે આગળ કોઈ ભવિષ્ય બચ્યું નથી, સિવાય મોત. તો લખો પછી મોત વિષે. ઘણા આખી જીંદગી નાસ્તિક રહેલા મિત્રો પણ વૃદ્ધાવસ્થામાં આગળ મોત દેખાય એટલે આસ્તિક બની જતા હોય છે. ગરુડે ચડેલો ભગવાન દેખાતો હોય છે. ભક્તિભાવ, ધ્યાન, યોગ સાધનામાં પડી જતા હોય છે.

સૌથી મોટો જો કોઈ ભય હોય તો તે મોતનો છે. એ ભય દૂર કરવા અથવા મોતને જસ્ટીફાઈ કરવા ગીતા વાંચવાનું શરુ થાય છે. नैनं छिन्दन्ति शस्त्राणि રટવાનું શરુ થાય છે. એક આશ્વાસન કે મારો આત્મા તો મરવાનો નથી, ખાલી વસ્ત્રોની જેમ શરીર બદલવાનું છે. મર્યા પછી શું થાય છે કોઈને ખબર નથી.

“સાંજ પડે સૂરજ આથમી જાય તેમ આથમી જવા ઈચ્છું છું. હું સડી જાઉં તે પહેલાં ખરી પડવા ઈચ્છું છું.”

આમાં કાઈ નવું નથી. સૂરજ આથમે છે તેમ બધાં આથમે જ છે. કહીએ કે ના કહીએ. સડવાને જો કમજોર પડવું કહેતા હોવ તો તે તમે પડી ચૂક્યા છો કારણ મોતની વાતો કરવા માંડ્યા છો.

મિત્રો પદ્મશ્રી ગુણવંત શાહને મેં ખૂબ વાંચ્યા છે. એમની ‘વિચારોના વૃન્દાવનમાં’ મારી પ્રિય કોલમ હતી. હવે તો એમનો ઉલ્લેખ નાં હોય છતાં એમનું લખાણ વાંચું એટલે ખબર પડી જાય કે આ શાહ સાહેબે જ લખેલું છે. ઘણા એમને સાહિત્યકાર માનવા તૈયાર નથી. કોલમિસ્ટ કે સ્તંભ લેખક તરીકે જ માને છે. ગુજરાતી સાહિત્ય સભા દ્વારા સ્થાપિત અને ગુજરાતી સાહિત્યમાં સૌથી ઉચ્ચ ગણાતો રણજીતરામ સુવર્ણ ચંદ્રક તેઓને ૧૯૯૭માં મળ્યો હતો. મને એમની આત્મકથા ‘બિલ્લો ટિલ્લો ટચ’ બહુ ગમી હતી. જોકે બહું વહેલી લખી નાખી હોય તેવું લાગ્યું હતું.  A1U1E7WLk8L

 

 

જ્ઞાનને શુદ્ધ જ્ઞાન રાખો એને ધર્મના લેબલની જરૂર નથી. (યોગા)

800px-Bhujangasana_Yoga-Asana_Nina-Melજ્ઞાનને શુદ્ધ જ્ઞાન રાખો એને ધર્મના લેબલની જરૂર નથી. (યોગા)

The US Patent and Trademark office has reportedly issued 150 yoga-related copyrights, 134 trademarks on yoga accessories and 2,315 yoga trademarks.

સૌથી વધુ યોગની પ્રેક્ટીશ કરતા હોય તો તે અમેરિકનો છે એવું મારું માનવું છે. એમને તે વાત જરાય નડતી નથી કે યોગની વ્યવસ્થિતપણે શોધ ભારતીયોએ કરેલી છે, અને તે ભારતીયો હિંદુ વિચારધારાને વરેલા હતાં. યોગ હિંદુ ફીલોસફીની છ મુખ્ય સ્કૂલ્સ માની એક સ્કૂલ છે. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મિમાંસા અને ઉત્તર મિમાંસા આમ છ હિંદુ તત્વજ્ઞાનની મુખ્ય શાખાઓ છે. સમજી લો કે ઉત્તર મિમાંસાથી ઈશ્વરભાઈ નામનો કોન્સેપ્ટ ઘૂસેલો છે. સાંખ્ય તદ્દન નિરીશ્વરવાદી હતું અને યોગ એની સાથે બહુ નજદીક હતો. એમાં જે પણ ઈશ્વર ઘુસ્યો હશે તે બહુ પાછળથી. મુર્ખ મુસલમાનો સાથે અજ્ઞાન હિન્દુઓને પણ ખબર નથી કે ભારતીય ફીલોસફીની છ સ્કૂલ્સમાં ઈશ્વર છેલ્લે ઘૂસેલો છે. યુજ ધાતુ પરથી યોગ શબ્દ બનેલો છે. યોગ મતલબ જોડવું. શરીર અને મન સાથે અદભુત જોડાણ કરવું અથવા તે જોડાણને સમજવું અને અમુક ક્રિયાઓ કરીને તે જોડાણ ને અદ્ભુત બનાવવું જેથી સર્વાઈવલ ઓફ ફીટેસ્ટનાં જમાનામાં સર્વાઈવ વધુ સારી રીતે થઈ જવાય તે પ્રક્રિયાને યોગ કહેવાય છે.

આધુનિક મેડીકલ સાયન્સની જેમ યોગ એક શુદ્ધ જ્ઞાન છે તેને ધર્મોના લેબલની જરાય જરૂર નથી તે પાપી પશ્ચિમના ક્રિશ્ચિયન લોકો ફનેટીક મુસલમાનો કરતા વધુ સારી રીતે જાણે છે, માટે આજે યોગ વિષય ૧૫૦ પેટન્ટ અમેરિકનો ધરાવે છે.

કેટલા હિન્દુઓને ખબર હશે કે યોગના આઠ અંગ છે? કે આઠ પ્રકરણ છે? કે યોગ નામની સીડીને આઠ પગથિયાં છે? હરિયાણાની ભાજપા સરકારના યોગના બ્રાંડ એમ્બેસેડર, યોગના વેપારી ગુરુ બાબા રામદેવ યોગની આઠ પગથીયાની સીડીના ફક્ત બે પગથિયાં આસન અને પ્રાણાયામ વિષે તમને માહિતી આપે છે. ફક્ત બે પગથિયાં જો આટલા લાભદાયી હોય તો આઠ પગથિયાં ચડીને ક્યાં પહોંચી જવાય?

યોગના આઠ અંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ.

બાબા રામદેવ પ્રાણાયામ અને આસનો જ શીખવાડે છે બાકી બીજા તેઓ અંગો વિષે તેઓ જાણતા જ હોય પણ સામાન્યજનને શીખવવાનું મુનાસીબ નહિ સમજતા હોય. કે એમાંથી અર્થોપાજન થાય તેવું લાગતું નહિ હોય.

યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર દ્વારા મદદ મળતા ધારણા, ધ્યાન અને સમાધિના પગથિયાં આસાનીથી ચડી શકાય.

પ્રાણાયામ શ્વાસોચ્છવાસની અદ્ભુત ટેકનીક છે. ઓક્સિજન વગર તો મુસલમાન પણ નહિ જીવી શકે અને પ્રાણાયામ ટેક્નિક ઓક્સિજન વધુમાં વધુ લેવાની ટેક્નિક છે. માછલી, કાચબો, ગાય, ભેંસ, ડુક્કર, હાથી કે માનવી, મુસલમાન કે હિંદુ, ખ્રિસ્તી કે પારસી, બૌદ્ધ કે જૈન, કે કોઈપણ હોય પાણીમાં તરતી વખતે ઓટ્મેટિક પ્લાવની પ્રાણાયામ કરે જ છે. તેમ જ લાંબુ દોડવાથી ઓટ્મેટિક ભસ્ત્રિકા પ્રાણાયામ થઈ જાય છે, ત્યારે કોઈ મુસલમાન એમ કહી નહિ શકે કે હું ભસ્ત્રિકા નહિ કરું કે સ્વિમિંગ પુલમાં પ્લાવની નહિ કરું, કારણ કોઈ હિન્દુએ પ્રાણાયામનાં વિવિધ નામ આપ્યા છે. ન્યુટને ગુરુત્વાકર્ષણ વિષે સમજ આપી તે પહેલા શું ગુરુત્વાકર્ષણ નહોતું? પતંજલિએ યોગ સુત્રો રચ્યા તે પહેલા શું યોગા નહોતો? અરે યોગા તો પ્રાણીઓ પણ કરે જ છે. સાપ કરે છે સ્ટાઈલને તો ભુજંગાસન નામ આપ્યું છે. એટલું કે એમને એના વિષે કોઈ વ્યવસ્થિત સમજ નથી.

આસનો સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ છે. હવે એને પશ્ચિમની સ્ટાઈલથી કરો કે ભારતીય સ્ટાઈલ કે ચાઇનીઝ સ્ટાઈલથી કરો શું ફરક પડે છે?

ચાઇનીઝ શાઓલીન, કુંગ ફૂ, કે જાપાનીઝ કરાટે હોય કે બીજા કોઈ પણ દેશની માર્શલ આર્ટ હોય યોગના આઠે આઠ અંગનું આક્રમક રૂપ છે. એમાં યમ છે નિયમ છે આસન છે પ્રાણાયામ છે અને ધ્યાન પણ છે સાથે સાથે સ્વબચાવ માટે આક્રમક રવૈયો એ લોકોએ ઉમેરેલો છે. અહિ આપણે ભારતીયોની ચૂક થઇ ગઈ આપણે સ્વબચાવ માટેનો આક્રમક રવૈયો યોગમાં ઉમેર્યો નહિ અને હશે તો  કાઢી નાખ્યો અને હજારો વર્ષ ગુલામ રહ્યા. આપણે યોગ સાથે ભક્તિ(સબમીશન) અપનાવી, ભક્તિ પાછળથી આવી, અને જે પણ આક્રમણકારીઓ આવ્યા શરણે થઇ ગયા. હજુ પણ શરણે થઇ જવાની ભાવના અકબંધ જ છે. ભક્તિ નબળા લોકોની માનસિકતા છે.

યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો છે.

યોગા પ્રાચીન ભારતે દુનિયાને આપેલી મહામૂલી ભેંટ છે. જેમ આધુનિક મેડીકલ સાયન્સનો વિકાસ ભલે યુરોપ અને ક્રિશ્ચિયાનિટીને હસ્તે થયો પણ આજે આખી દુનિયા એને કોઈ ધર્મના લેબલ લગાવ્યા વગર વાપરે છે અને ક્રીશ્ચિયાનિટી વાપરવા દે છે તેમ યોગા પણ વાપરવો જોઈએ. બાકીની દુનિયાના લોકો તો યેનકેન પ્રકારે વાપરે જ છે.

હવે જેમ તાવ આવે ત્યારે કોઈ ડોક્ટર જોડે જઈએ, વૈદ્ય જોડે જઈએ કે હકીમ જોડે જઈએ તે આપણી ઈચ્છાનુસાર હોય છે તેવું યોગા વિષે પણ હોવું જોઈએ કોઈને ફરજ પાડી શકાય નહિ કે વૈદ્ય જોડે જ જાઓ કે હકીમ જોડે જાઓ કે ડોક્ટર જોડે જ જાઓ. Janusirsasana_Yoga-Asana_Nina-Mel

પશ્ચિમના ડે અને તહેવારો પ્રત્યે કકળાટ શાને?

images65W0PFCT પશ્ચિમના ડે અને તહેવારો પ્રત્યે કકળાટ શાને?

મધર્સ ડે, ફાધર્સ ડે, વૅલન્ટાઇન ડે, ટીચર્સ ડે જેવા અનેક દિવસો પશ્ચિમના જગતમાં ઊજવાય છે, જે હવે ભારતમાં પણ ઉજવવાનું શરુ થઈ ગયું છે. પશ્ચિમના ક્રિસમસ જેવા તહેવારો પણ આપણે ઊજવવા લાગ્યા છીએ. દુનિયા હવે નાની થતી જાય છે. પહેલાં તો મુંબઈ કોઈ કમાવા જાય તો પણ વિદેશ ગયા હોય તેવું લાગે. મારું બચપણ વિજાપુરમાં બારોટવાસમાં ગુજરેલું. અમારા વિજાપુરના ઘણા બારોટો મુંબઈમાં ધંધોપાણી કરતા. વર્ષમાં એક વાર એકાદ મહિનો ઘેર આવતા. જાણે વિદેશથી કોઈ મહેમાન આવ્યા હોય તેવો એમનો ઠાઠમાઠ રહેતો. ટૂંકમાં મુંબઈ તે સમયે વિદેશ ગણાતું. પણ હવે સવારે મુંબઈ જઈ રાત્રે ઘેર આવવું હોય તો આવી જવાય. ટૂંકમાં દુનિયા હવે બહુ નાની થતી જાય છે. હું વિજાપુર રહેતો ત્યારે ભાદરવા મહિનામાં ગણેશ ચતુર્થી આવતી ત્યારે મારા મધર લાડુ બનાવતા. બાકી એનો કોઈ ઉત્સવ જોવા મળતો નહિ. પહેલીવાર દસમાં ધોરણ પછી ૧૯૭૧માં અગિયારમાં ધોરણમાં વડોદરા ભણવા આવ્યો ત્યારે ગણેશોત્સવ જોયો. ત્યારે અચરજ પામેલો. હવે ગણેશોત્સવ આખા ગુજરાતમાં ફેલાઈ ગયો છે. મને ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતમાં ઉતરાણ પર પતંગ ચગાવવાનું જોર હતું તેટલું સૌરાષ્ટ્રમાં નહોતું. સ્કૂલમાં ૨૫ ડિસેમ્બર નાતાલની રજા પડતી એટલી મજા, બાકી ક્રિસમસ એટલે શું કોણ જાણે?

ટૂંકમાં તહેવારો ઊજવવા એમાં ખોટું શું છે? આપણે ઉત્સવ ઘેલા છીએ જ એમાં જેના મૂળ ઉત્સવ હોય તે લોકો શું કરે? હવે મહારાષ્ટ્રીયન ભાઈઓ તમને થોડી ના પાડવાના હતા કે ગણેશોત્સવ અમારો તહેવાર છે તમે ગુજરાતીઓ મનાવશો નહિ? એમ હવે તમે ક્રિસમસ મનાવો કે પશ્ચિમના બધા ‘ડે’ મનાવો તો પશ્ચિમના લોકો થોડા મનાઈહુકમ મેળવશે? ગણેશોત્સવ મનાવવાથી જેમ ગુજરાતી અસ્મિતાનો નાશ નથી થઈ જતો તેમ ક્રિસમસ મનાવવાથી ભારતીય સંસ્કૃતિનો નાશ કઈ રીતે થઈ જાય? દરેક સંસ્કૃતિમાં જે તે વરસના અંતે એક તહેવાર મનાવવો જોઈએ એ બહાને ઘરમાં સાફસફાઈ થઈ જાય, જુના વરસની વિદાય અને નવા વરસને આવકારો અપાઈ જાય તેવા રિવાજ હોય જ છે. હવે વરસના અંતે બે વાર એવી ઉજવણી જરૂરી નથી હોતી અને કરો તો પણ તમારા ખર્ચે અને જોખમે કરો એમાં બીજાને શું? પશ્ચિમના લોકો વરસના અંતે ક્રિસમસ મનાવે પછી દિવાળી નો મનાવે. કદાચ ડિપ્લોમસી તરીકે કોઈ મનાવતું હોય તો હાજર રહે પણ ખરા. પણ તમને વરસના અંતે બે તહેવાર ઊજવવા જ હોય તો ઊજવો.

પશ્ચિમના લોકો આપણને જરાય ફરજ પાડતા નથી કે તેમના ‘ડે’ અને તહેવારો ઊજવો. આપણે જે ઊજવીએ છીએ તે આપણી મરજીથી ઊજવીએ છીએ. પણ જ્યારે જ્યારે આવા તહેવારો કે દિવસો ભારતમાં ઊજવાય ત્યારે એક બહુ મોટો વર્ગ એનો વિરોધ કરવા નીકળી પડે છે. આપણા ઘરનો છોકરો પાડોશીના છોકરા જોડે ઝગડી પડે ત્યારે આપણા છોકરાનો વાંક હોય છતાં આપણને પાડોશીના છોકરાનો જ વાંક દેખાય તેવું આમાં પણ છે. પશ્ચિમના તહેવારો ઊજવીએ છીએ આપણે પણ ગાળો ખાય છે પશ્ચિમના લોકો. એક મિત્રે લખ્યું કે મૂળ અમેરિકન આદિવાસીઓ હતા ત્યાં કોઈ સંસ્કૃતિ જ નહોતી. માયા, એઝટેક અને ઇન્કા નામની ગ્રેટ સંસ્કૃતિઓ ત્યાં હતી. ઈજીપ્ત જેવા પિરામિડ પણ આ લોકોએ બનાવેલા છે. ત્યાર પછી યુરોપિયન આવ્યા તો તેઓ પોતપોતાની સંસ્કૃતિઓ સાથે લઈ ને જ આવ્યા હોય તે સ્વાભાવિક છે.

માતૃદેવો ભવઃ અને પિતૃદેવો ભવઃ કહેનારા દેશમાં નદીઓ અને ગાયોને પણ માતા માનીએ છીએ, છતાં આપણી નદીઓ અને ગાયોનો શું હાલત છે તે સહુ સારી રીતે જાણે છે. પ્લાસ્ટિક ખાઈને પેટ ભરતી ગાયો અને માતા ગંગાનું પાણી પીવા તો ઠીક સ્નાન કરવા લાયક પણ નથી એવો સરકારી રિપોર્ટ છે. માતૃદિવસનાં દિવસે અહીં જાણે કોઈ ખરાબ કામ થતા હોય તેમ લોકો વખોડવા બેસી જાય છે. આ દિવસે માતાને કાર્ડ આપશે, ફૂલ આપશે, અને બહાર જમવા લઈ જશે. એમાંનું થોડું આપણા યુવાનો કરે તો એમાં ખોટું શું છે? રોજ રોજ તો તમે માળા લઈને માતૃદેવો ભવઃ રટવા બેસવાના નથી. આખો દિવસ તો માતાના પગ આગળ બેસી રહેવાના નથી ભક્તિભાવથી તરબતર થઈને… એનું ઋણ ચૂકવવા કે એનો આભાર વ્યક્ત કરવા એકાદ દિવસ એને કામકાજમાં રજા આપી જમવા બહાર લઈ જાઓ તો એમાં ખોટું શું છે? આપણે માતૃદેવો ભવઃ કહીને માતાને ૨૪/૭/૩૬૫ કામકાજ કરવા દઈએ છીએ કોઈ દિવસ રજા આપતા નથી. આમ તો તમે માનો છો કો પશ્ચિમના લોકો પાપી છે કોઈ રિલેશનમાં માનતા નથી તો મધર ડે મનાવી માતાનું બહુમાન આ પાપીયા કરે છે તો આપણે ખુશ થવું જોઈએ કે ના આ લોકોમાં પણ થોડું હૃદય જેવું છે.

એવું નથી હોતું કે આપણી સંસ્કૃતિ તદ્દન ખરાબ હોય કે મહાન જ હોય તેમ પશ્ચિમની સંસ્કૃતિ પણ તદ્દન ખરાબ કે મહાન હોય. દરેકમાં પોતપોતાની ખામીઓ અને ખૂબીઓ હોય જ છે. પણ આપણા લેખકો, પત્રકારો સામાન્ય લોકોને ખોટેખોટું લખીને ગેરમાર્ગે દોરતા હોય છે. અને લખેલું વંચાય તેમ સામાન્ય જન લખેલું સાચું માની લેવા ટેવાયેલા હોય છે. એમને એવું જ હોય કે કોઈ લેખક લખે એટલે તે સાચું જ હોય. બુદ્ધિશાળી લોકો પણ બહુ વિચારતા હોતા નથી અને સાચું માની લેવા ટેવાયેલા હોય છે. એક સીધો સાદો સાચો દાખલો આપું. એક ફેમસ ગુજરાતી ન્યૂઝ પેપરના એક કોલમ લેખકે લખ્યું કે ઈન્દીરા ગાંધી અને એમના પતિ ફિરોઝ ગાંધી એટલાં માટે છૂટા પડ્યા કે ફિરોઝ ગાંધી અને એમની સાસુ કમલા નહેરુ મતલબ ઇન્દિરાના માતા વચ્ચે પ્રેમ સંબંધ ચાલતો હતો અને તે ઈન્દીરા કોઈ સમયે જોઈ ગયેલા. સાસુ જમાઈ વચ્ચે પ્રેમ સંબંધની વાત વાંચી મારા એક બહુ સારા મિત્ર જેઓ પોતે લેખક છે તે સાચું માની ગયા અને એમણે પ્રતિભાવ આપ્યો કે મોટા લોકોનાં મોટા પોલ હોય. મેં એના વિષે આખો આર્ટિકલ લખીને મારા બ્લોગમાં મૂક્યો. સત્ય એ છે કે કમલા નહેરુના મરી ગયા પછી દસ વર્ષ પછી ઈન્દીરા અને ફિરોઝ ગાંધીના લગ્ન થયેલા.

‘કર્મનો નિયમ’ લખીને ફેમસ થઈ ગયેલા હીરાભાઈ ઠક્કર નામના લેખકે એમના ‘મૃત્યુનું મહાત્મ્ય’ નામના બીજા પુસ્તકમાં બહુ મોટું ગપ્પું મારેલું કે અમેરિકામાં લોકો ઘરડા થાય એટલે માથામાં ગોળી મારીને મારી નાખે અથવા ઝેર આપીને મારી નાખે આને મર્સી કિલિંગ કહેવાય. હવે જે લોકો ભક્તિભાવથી હીરાભાઈને વાંચતા હોય તેમના મનમાં એવી જ છાપ પડે કે અમેરિકન એટલે ક્રૂર ઘરડા લોકોને મારી નાખે. એના વિષે પણ મેં એક આખો લેખ લખીને મારા બ્લોગમાં મૂકેલો કે મર્સી કિલિંગ કોને કહેવાય. અમેરિકા વિષે કે પશ્ચિમની સંસ્કૃતિ વિષે તદ્દન ખોટું ચિત્રણ આપણી સામે થતું હોય છે. અમેરિકનો એટલે ક્રૂર, સેક્સ મેનીયાક, અમેરિકામાં તો રસ્તે જનારને પણ સેક્સ કરવા વિષે બેધડક પૂછી શકાય. અમેરિકામાં તો ગમે તેની સાથે ગમે ત્યારે હાલતા ચાલતા રસ્તે ગમે ત્યાં સેક્સ કરી શકાય. લોકો સાવ નાગા કપડા પહેર્યા વગર જ ફરતા હશે. અમેરિકન સ્ત્રીઓ જાણે તમારા પૂછવાની રાહ જોતી હોય કે પૂછો એટલે તરત નાગલી થઈ ને તમારી સાથે સૂઈ જાય. અમેરિકામાં તો છોકરા ૧૫ વર્ષે ઘર છોડી બહાર જ જતા રહે. નાં જાય તો માબાપ જ કાઢી મૂકે.

સત્તાવાર રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં ચાર મિલયન એટલે ૪૦ લાખ લોકો સંયુક્ત કુટુંબમાં રહે છે જેમાં આશરે ત્રણ જનરેશન જોડે રહેતી હોય છે. ભણવામાં રસ નાં ધરાવતા હોય તેવા છોકરા ૧૭-૧૮ વર્ષે જૉબ પર લગી જતા હશે. એમાંના પણ બધા પોતાના ઘર છોડી દેતાં નથી. અમેરિકાની હજારો યુનિવર્સિટીઓમાં ભણતા લાખો છોકરાંઓનાં ભણવાના તોડી નાખે તેવા ખર્ચા માબાપ વેઠતા જ હોય છે. ૧૭ વર્ષે ઘર છોડી નોકરી કરી તમે જાતે ભણી ના શકો. આઠ કલાક નોકરી કરો તો ભણો ક્યારે? અને પાર્ટ ટાઈમ નોકરી કરો તો તેટલી આવકમાં શું ભણો? ફૂલ ટાઈમ ભણો તો જ સરકારી આર્થિક સહાય મળે છે. હવે ફૂલ ટાઈમ ભણો તો ચાલો ભણવા માટે આર્થિક સહાય મળે તો ખાવા પીવાનું શું? આર્થિક સહાય માટે પણ અમુક ધારાધોરણ જોઈએ. નહિ તો વર્ષે ૨૦-૪૦ હજાર ડોલર્સ ફી ભરીને ભણવું પડે. ટૂંકમાં માબાપની સહાય હોય જ છે નહિ તો અમેરિકાની તમામ કૉલેજો આપણે માનીએ છીએ તેમ હોય તો બંધ કરી દેવી પડે. ભણવામાં બિલકુલ રસ નાં હોય તેવા છોકરા અહીં બેસી રહી માબાપ ઉપર બોજ બનતા નથી જૉબ પર લાગી જતા હોય છે, તો એમાં ખોટું શું છે?

૧૭ વર્ષે જે દેશના તમામ છોકરાં ઘરબાર છોડી સ્વછંદ બની જતા હોય તો એ દેશ આજે વિજ્ઞાનમાં સર્વોચ્ચ બની મહાસત્તા બની જ કેવી રીતે શકે? સ્વચ્છંદતાની આપણી વ્યાખ્યા જ અલગ છે. બીચ ઉપર બીકીની પહેરીને ફરતી છોકરીમાં આપણને સ્વછંદતા લાગે કારણ આપણે બંધ બાથરૂમમાં પણ કપડા પહેરીને સ્નાન કરવાવાળી પ્રજા છીએ. અહીં બીચ ઉપર ૨૦ વર્ષની યુવાન બીકીની પહેરેલી દીકરી અને ૪૦ વર્ષની લગભગ યુવાન જ દેખાતી બીકીની પહેરેલી પત્ની જોડે ૪૨ વર્ષનો અમેરિકન પુરુષ આરામથી ફરતો જોઈ આપણા ભવાં ચડી જાય. સાલા, નફ્ફટ, નાગા, બેશરમ નરકમાં જવાના એવા વિચારો આવી જાય. આ આપણા ચશ્માં છે. આપણે અંધારી રાત્રે પણ ચશ્માં પહેરીને ફરીએ તો પછી શું દેખાય?

આપણો જીવનને જોવાનો અને મૂલવવાનો નજરિયો જ અલગ છે. આપણા ૮૦ વર્ષના માબાપ એમના ૬૦ વર્ષના દીકરા જોડે એવી જ અપેક્ષા રાખતા હોય કે તે હંમેશા એમને પૂછી ને જ પાણી પીવે. આપણે મરીએ ત્યાં સુધી આપણા સંતાનોને સ્વતંત્રતા આપવા ઇચ્છતાં હોતા નથી. છોકરાઓ એમની વૈચારિક સ્વતંત્રતા આપણી પાસેથી છીનવી લે ત્યારે નાં છૂટકે જ આપીએ તે પણ કેટલુંય ખોટું લગાડીને. એનો વસવસો તો મરીએ ત્યાં સુધી રહે કે છોકરાએ મારું કહ્યું માન્યું નહિ. પશ્ચિમનો નજરિયો અલગ છે. ૧૮ વર્ષના સંતાનને માબાપ સ્વતંત્રતા આપે છે. તો સંતાનો પણ માબાપની જીંદગીમાં દખલ કરતા નથી. માબાપ પણ કોઈ ભગવાન નથી આખરે મનુષ્ય જ છે. એમના પણ ગમા અણગમા હોય, અરમાન હોય, આશાઓ હોય, પોતીકી લાગણીઓ હોય, લાગણીઓના ચડાવ ઉતાર હોય. આપણે સ્વતંત્રતા ભોગવી હોતી નથી એટલે જરાપણ સ્વતંત્રતા જ્યાં દેખાય તરત એમાં સ્વચ્છંદતા જોવા ટેવાઈ ગયા છીએ.

અહિ બસ કે ટ્રેનમાં ગમે તેટલી ભીડ હોય કોઈ એક બીજાને ટચ કરે નહિ, કે છાપા નીચેથી હાથ સરકાવી બાજુમાં બેઠેલી છોકરીને કોઈ અડપલાં કરતું નથી. અહિ સેક્સુઅલ હેરેસમેન્ટ માટે સખત કાયદા છે. ઑફિસમાં મહિલાઓને કે પુરુષોને પણ એની મરજી વગર હાથ લગાવાય નહિ. એના ખભે હાથ ફેરવી લેવાય નહિ. નાના છોકરાનું કે છોકરીનું જાતીય શોષણ કર્યું હોય જે તે સમયે તેને ભલે સમજ પડી નાં હોય પણ મોટું થઈને તે કેસ કરી શકે છે અને તમને જેલમાં ચક્કી પીસિંગ એન્ડ પીસિંગ કરાવી શકે છે. એમાં ન્યુયોર્કની કોઈ સ્કૂલમાં ભણાવતી પંજાબી મહિલા ટીચર હાલ જેલમાં છે. હમણાં અહિ એપ્રિલ સુધી બરફ પડ્યો છે. લગભગ આઠેક મહિના પુરા કપડા પહેરવા પડે નહીં તો ચામડી ફાડી નાખે તેવું હવામાન હોય છે માટે અહિ આઠ મહિના તો કોઈ નાગું ફરતું નથી, ચિંતા કરશો નહિ. મેં અને સપ્ટેમ્બરમાં પણ નાગા ફરાય તેવું વાતાવરણ હોતું નથી. જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં લોકો સૂર્યનો તાપ જેટલો લેવાય તેટલો ચામડી દ્વારા લઈ લેવો તે ન્યાયે ઓછા કપડા પહેરે છે પણ સાવ નાગા નથી ફરતા.. ઓફિસોમાં અને કંપનીઓમાં તેમના પ્રોટોકૉલ મુજબ કપડા પહેરવા પડતા હોય છે.

પશ્ચિમના કલ્ચરમાં ખામીઓ છે નહિ તેવું પણ નાં હોય. ખામીઓ બધે જ હોય છે. કોઈ પૂર્ણ તો હોતું નથી. એમાં તો એની ખૂબી છે. પણ આપણે ધારીએ છીએ તેટલું ખરાબ પણ નથી. અહીં પણ માનવો જ રહે છે. અહીં પણ માબાપ પોતાના સંતાનો માટે સેક્રીફાઈસ કરે જ છે. અહિ પણ સંતાનો વૃદ્ધ માબાપની કાળજી રાખે છે. અહિ પણ ૩૦-૪૦ વર્ષથી એકની એક પત્ની સાથે કે પતિ સાથે જીવતા લોકો મેં જોયા છે. મારો સુપરવાઈઝર જુલિયસ ૨૦ વર્ષે પરણી ગયેલો આજે ૬૫નો હશે પણ હજુ બંને સાથે જ છે. આવા તો અનેક દાખલા છે. છતાં ભારત કરતા ડિવોર્સનું પ્રમાણ ચોક્કસ વધારે છે.

જે NRI દેશમાં આવીને અમેરિકા વિષે ખોટું ચિત્રણ કરે છે તેમની માનસિકતા વર્ષો પહેલા ભારત છોડી આવ્યા હોય ત્યાં જ અટકી ગયેલી હોય છે. એમનો હેતુ ફક્ત કમાવા પૂરતો જ હોય છે. ૩૦-૪૦ વર્ષ પહેલા દેશ છોડીને ભલે આવ્યા હોય ૩૦-૪૦ વર્ષ પહેલાની માન્યતાઓ એમની સાથે એની એજ જરાય બદલાયા વગરની હોય છે. એમની જોડે ડોલરની લીલી નોટો જોવાની જ દ્ગષ્ટિ બચી હોય છે. અહીંના સમાજ જીવન વિષે કે કલ્ચર વિષે અભ્યાસ કરવાની કે નિષ્પક્ષ જોવાની એમની પાસે કોઈ દ્ગષ્ટિ હોતી નથી, કે એવી એમને કોઈ જરૂર હોતી નથી કે એવી કોઈ પળોજણમાં પડતા જ નથી. એનાં એજ ટીલા ટપકા, એના એજ ગુરુઓ પાછળ દોટો મૂકવાની, એના એજ મંદિરો, એના એજ હજારો વર્ષ જૂની માન્યતાઓ અને પરમ્પરાઓ, એની એજ અંધશ્રદ્ધાઓ, એની એજ અવૈજ્ઞાનિક માન્યતાઓ, એના એજ સંસ્કૃતિ અને સંસ્કારની ગાથા ગાયે રાખવાની ટેવ, કોઈ જ બદલાવ નહિ. આવા અબુધ પૈસાદાર લોકો દેશમાં આવીને અહીંના અસલ ચિત્ર કઈ રીતે દોરવાના હતા?

આપણા બુઢા ખૂસટ લેખકોને પણ ખબર છે કે ભારતીયોને સંસ્કૃતિ અને સંસ્કારની દુહાઈ દો એટલે ભયો ભયો. તેઓને આ વિક પોઇન્ટ ખબર છે માટે તરત લેખ ઘસડી નાખશે. પશ્ચિમને થોડું ભાંડી નાખો એજ યુજુઅલ ભારતીયો ખુશ થઈ જવાના, આપણો ટી આર પી જળવાઈ જવો જોઈએ. લેસ્લીએ ડોક્યુમેન્ટરી બનાવી ભાંડી નાખો પશ્ચિમને, દીપિકાએ મારી મરજી કહ્યું ભાંડી નાખો પશ્ચિમને, બિહારમાં પરીક્ષાઓમાં થતી ચોરીઓના ફોટા વિદેશમાં પહોચ્યા ભાંડી નાખો પશ્ચિમને. કેટલાક યુવાનોએ મધર્સ ડે, ફાધર્સ ડે, વૅલન્ટાઇન ડે, ટીચર્સ ડે ઊજવ્યા ભાંડી નાખો પશ્ચિમને.

યુવાનોને વખોડ્યા વગર, પશ્ચિમને વખોડ્યા વગર આપણી પાસે જે જે તહેવારો છે તેને અપડેટ કરવા જોઈએ. આપણી પાસે ગુરુ પૂર્ણિમા છે જ. એ દિવસે ગુરુ ઘંટાલો પાછળ દોટો મૂકવાને બદલે યુવાનોને ટીચર્સ ડે ઊજવવા પ્રેરિત કરવા જોઈએ તો ફરી બીજો ટીચર્સ ડે ઊજવવા નહિ દોડે. આજના યુવાનને એના ટીચર્સમાં શ્રદ્ધા હશે તેટલી તમારા ટીલા ટપકા કરેલા પૈસા પડાવતા અવૈજ્ઞાનિક વાતો કરતા ગુરુ ઘંટાલ પ્રત્યે નહિ જાગે. પણ તમારે આવા લુચ્ચા ગુરુઓ પાછળ દોટો મૂકવી છે અને છોકરાને ટીચર્સ ડે ઊજવવા દેવો નથી. વસંત પંચમીને અપડેટ કરો વૅલન્ટાઇન ડે નહિ મનાવે. નવરાત્રિમાં કાલ્પનિક પ્રતીકાત્મક માતાઓ સાથે ઘરની અસલી માતાઓનું પૂજન કરવાનું શીખવો મધર્સ ડે નહિ મનાવે. પિતાજી તો મૂંગામંતર બલિદાન આપવા માટે જ હોય છે એમનો કોઈ દિવસ છે નહિ. દિવાળીને અપડેટ કરો. યુવાનોને સમજાવો કે વર્ષના અંતે દિવાળી અને ક્રિસમસ જેવા બે તહેવાર એક જ ટાઈપનાં જરૂરી નથી. દિવાળીમાં ક્રિસમસનો ચાર્મ ઉમેરો, થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરનું થ્રિલ ઉમેરો તો ફરી ક્રિસમસ ઊજવવા કોઈ તૈયાર નહિ થાય. આપણી પાસે પશ્ચિમ કરતા વધુ તહેવારો છે. છતાં આપણા તહેવારોમાં કશું ખૂટે છે, કશું નવું માંગે છે આજના યુવાનો. એટલે પશ્ચિમના તહેવારો તરફ દોટ મૂકે છે.

આપણે તહેવારોને તહેવારો રહેવા દીધા નથી ધાર્મિક મેળાવડા બનાવી દીધા છે. યુવાનોને ઇનોસન્ટ આનંદ માણવો હોય છે.    Mothers-Day-DP-For-Facebook

ક્ષમાપંથે

ક્ષમાપંથેimagesI3MWPAJ1

હું નાનો હતો ત્યારે વિજાપુરમાં અમારા ભાટવાડામાં એક કથાકાર આવતા. ઊંચા, ગોરા, મોટું કપાળ, વાંકડિયા ઝુલ્ફા, પ્રભાવશાળી હતા. મારા ફાધર થિયોસોફિકલ સોસાયટીમાં જોડાયેલા હતા. અને આ કથાકાર થિયોસોફિકલ સોસાયટીના વિચારોને વરેલા અને એના આમંત્રણથી જ આવતા, કોઈ ચીલાચાલુ ધાર્મિક ખાલી પૈસા કમાવાના હેતુ વડે કથા કરતા હોય એવું નહોતું. પ્રેરણાત્મક કથાઓ કહેવાનો એમનો હેતુ ઉમદા હતો. ‘વેર વેરથી શમતું નથી’ એવા શીર્ષક હેઠળ એક જોરદાર લોકકથા તેમના ભવ્ય કંઠે તેઓ કહેતા ત્યારે શ્રોતાઓ એક ટ્રાન્સમાં ચાલ્યા જતા. કથા હતી પીઠાસની..

પીઠાસ એક નાનો બાળક હતો એની પાસે એનો એક પાળેલો સસલો હતો. એકવાર પીઠાસ એના પિતા સાથે એના ફોઈના ઘેર જાય છે ત્યાં એનો સસલો જોડે જ હોય છે. પીઠાસનાં ફૂવા સસલાને મારી ભોજન રૂપે આરોગી જાય છે. આ વાતે પીઠાસનાં પિતા અને એમના બનેવી જે પીઠાસના ફૂવા થાય બંને વચ્ચે ઝગડો થાય છે. એમાં પીઠાસનાં પિતા બનેવીના હાથે મરાય છે. પીઠાસના મનમાં વેર ભાવના ઘર કરી જાય છે. પીઠાસ મોટો થતા એની ફોઈ પોતે જ પીઠાસને પોતાના ભાઈના મારતલ પોતાના પતિની હત્યા કરી આપવા સગવડ આપે છે. પીઠાસ ફુવાની હત્યા કરી વેરનો બદલો લે છે. હવે ફૂવાના દીકરા પીઠાસ પાછળ પડે છે. આમ વેરનો અંત આવે નહિ. પીઠાસની નવોઢાની રાત્રે મસ્તીભર્યા માહોલમાં બંગડીઓ તૂટી જાય છે. નવોઢા હઠ પકડે છે કે સૌભાગ્ય સૂચક બંગડીઓ વગરના હાથ નહિ રાખું હાલ જ બંગડીઓ લઈ આવો. પીઠાસ સમજાવે છે કે ફોઈના દીકરા ગમે ત્યારે મારી હત્યા કરી નાખશે આમ અરધી રાત્રે મણિયારની દુકાન ખોલાવી લેવા જવું હિતાવહ નથી પણ પત્ની માનતી નથી. પીઠાસ જાય છે ફૂઈના દીકરાઓ એને પકડી પાડે છે. પીઠાસ વચન આપે છે કે આ બંગડીઓ પત્નીને આપી ને પાછો આવું. પીઠાસ વચન પાળે છે અને ફૂવાના દીકરાઓનું હ્રદય પરિવર્તન થાય છે. પીઠાસને મારતા નથી. વેર વેરથી શમે નહિ અવેરથી શમે એવો ઉપદેશ આ કથામાં હોય છે.

આ કથા ગદ્ય અને પદ્યમાં મઢીને એવી સરસ રીતે કહેવાતી કે લોકોની આંખમાં આંસુ આવી જતા. હું બહુ નાનો હતો તે સમયે પણ એનો ટૂંકસાર હજુ મને યાદ છે તે કથાકારની કાબેલિયતનું પ્રમાણ છે.

કોઈના પ્રત્યે વેર, દ્વેષભાવ, રોષ મનમાં ભરી રાખવો જરાય હિતાવહ નથી. આપણને કોઈ દગો દે કે આપણી લાગણીઓ ઘવાય ત્યારે આપણું લોહી ઊકળી ઊઠે છે. ગુસ્સો અને બદલો લેવાની ભાવના જાગે છે. અને આવી ભાવના આપણી સિમ્પથેટિક નર્વસ સિસ્ટમનો ફાઈટ ઓર ફ્લાઇટ સ્ટ્રેસ રિસ્પૉન્સ ઍક્ટિવ કરે છે, જે આપણા સ્ટ્રેસ હાર્મોન્સ કોર્ટીસોલનું લેવલ વધારી નાખે છે. કડવાશ અને ક્રોધાવેશ દ્વારા ઊભો થતો સ્ટ્રેસ રિસ્પૉન્સ બ્લડપ્રેશર વધારે છે. કોઈ આપણા પ્રત્યે રોષ કે વેરભાવ મનમાં ભરી રાખે કે આપણે કોઈના પ્રત્યે ભરી રાખીએ તો તે લાંબા ગાળે ટૉક્સિક (વિષમય) બની બદલો લેવાની ભાવના ભેગી થતા ટ્રૅન્સ્ગ્રેશન તરફ દોરી જાય છે. આ વિષાક્ત રોષને શાંત પડવાની કોઈ પ્રક્રિયા હાથ ધરીએ નહિ અને મનમાં વેર ભરી રાખીએ તો શરીર માટે વિનાશકારી સાબિત થાય છે. એક રીતે કહીએ તો મનમાં રોષ ભરી રાખવો આત્મહત્યા જેવું કહેવાય.

માયામી યુનિના મનોવિજ્ઞાનનાં પ્રોફેસર Michael McCullough અને કેલિફોર્નિયા યુનિનાં મનોવિજ્ઞાની બેન્જામીન દ્વારા થયેલા એક અભ્યાસ મુજબ તમને જેના પ્રત્યે રોષ હોય તેના તરફ ખાલી પ્રસન્ન મુખમુદ્રા(conciliatory gestures) રાખી આગળ વધો તો પણ તમારા સ્ટ્રેસ હાર્મોન કોર્ટીસોલમાં ઘટાડો થાય છે. મૂળભૂત કોઈના પ્રત્યે વેરભાવ કે ગુસ્સો સિમ્પથેટિક નર્વસ સિસ્ટમનો ફાઈટ ઓર ફ્લાઇટ સ્ટ્રેસ રિસ્પૉન્સ ઍક્ટિવ થતા “stress hormone” cortisol વધારે જે સર્વાઈવલ માટે જરૂરી હોય છે, તેવી જ રીતે કોઈના પ્રત્યેનો રોષ કે ગુસ્સાનું શમન થાય તેવા મૈત્રી ભર્યા પ્રયત્નો  parasympathetic nervous system દ્વારા “love hormone” oxytocin નું લેવલ વધારે જે પણ સર્વાઈવલ માટે જરૂરી જ છે. હવે લાંબા ગાળે આપણા શરીર માટે કયું સારું? તમે જ નક્કી કરો. આ બંને નર્વસ સિસ્ટમ દ્વારા રિલીજ થતા બંને હાર્મોન્સ જરૂરી છે. હવે તો લગભગ બધા મિત્રો કાર ચલાવતા જ હશે તો સમજો એક ગેસ પેડલ છે અને બીજું બ્રેક પેડલ. ક્યારે ગેસ પેડલ દબાવવું અને ક્યારે બ્રેક તે આપણે કાર ચલાવતા જાણતા જ હોઈએ છીએ તો જીવનરથ ચલાવતા કેમ જાણી નાં લેવું કે ક્યારે cortisol ઘોડાને દોડાવવો અને ક્યારે oxytocin લગામ ખેંચવી? એક મહત્વની વાત એ છે કે cortisol and oxytocin બંનેનું સરસ બેલેન્સ સારા સ્ટ્રેસમાં પરિણામે છે જેને આપણે  પૅશન કહી શકીએ કોઈ કામ કે હેતુ પ્રત્યે જુસ્સો કે લગન વધારે છે અને તે ખરાબ સ્ટ્રેસ જે રોગોનું કારણ છે તેને ઘટાડે છે.

સતત વેરભાવ મનમાં ભરી રાખવો આપણને માનસિક રીતે એકલાં પાડી દે તેમાં નવાઈ નહિ. સમૂહમાં રહેવાથી સર્વાઈવલનાં ચાન્સ ખુબજ વધી જાય તે આપણે વિકાસના ક્રમમાં શીખી ચૂક્યાં છીએ. અને સમૂહમાં રહેવા સામાજિક જોડાણ અગત્યનું છે અને તે જોડાણ વધારવા એકબીજા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ જરૂરી છે, તો પ્રેમ અને વિશ્વાસનું જનક ન્યુરોકેમિકલ ઓક્સિટોસીન લેવલ સચવાય તે ખાસ જરૂરી છે. એમેઝોનનાં જંગલોમાં રહેતા હન્ટર ગેધરર ઉપર કરેલા એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે પુરુષો બહાર શિકાર કરવા જાય અને પાછાં ઘેર આવે ત્યારે એમના ઓક્સિટોસીન લેવલ વધી જતા અને તેનો આધાર તે કેટલો સમય બાકીના સમૂહથી દૂર રહ્યા છે તેના પર રાખતું. મતલબ વધુ સમય ફેમિલી કે સમૂહથી દૂર રહ્યા હોય અને ઘેર પાછાં આવે તો ઓક્સિટોસીન લેવલ ખૂબ વધી જાય. ઘણા દિવસે કોઈ પ્રિયજન મળે તો સ્વાભાવિક ખૂબ આનંદ પમાડતું હોય છે તેનું રહસ્ય ઓક્સિટોસીન લેવલ ખૂબ વધી જાય તેમાં છુપાયેલું હોય છે. ટૂંકમાં જેટલો વિરહ લાંબો મિલનની મજા એટલી વધારે.

કાયમ માફ કરવું અને ભૂલી જવું પણ યોગ્ય નથી, ખાસ તો જ્યારે તમે પરણેલા હો. હહાહાહાહાહહાહાહ.

કોઈ સંપૂર્ણ હોતું નથી માટે કાયમ બધા ભૂલો તો કરતા જ હોય છે ત્યારે ટૂંકા સમયનો ગુસ્સો જરૂરી છે. જેથી લાંબો સમય રોષ મનમાં ભરેલો રહે નહિ. હું પોતે શૉર્ટ ટૅમ્પર છું. શૉર્ટ ટૅમ્પર લોકોની એક જબરદસ્ત ખૂબી એ હોય છે કે તેઓ લાંબો સમય કોઈના પ્રત્યે વેરભાવ રોષ રાખી શકે નહિ. એમના ગુસ્સાનું સમાપન જલદી થઈ જતું હોય છે. થોડીવાર પછી તેઓ ભૂલી જતા હોય છે. કદી ગુસ્સે નહિ થનારા લોકોથી હમેશાં ચેતવા જેવું છે. તેઓ કોઈ મહાત્માઓ તો હોતા નથી ગુસ્સે તો થતા જ હોય છે પણ તેઓ એમનો ગુસ્સો મનમાં જમા કરી રાખતા હોય છે. અને કાયર હોવાથી આડકતરી રીતે એવું વેર વાળે કે જેનો કોઈ હિસાબ નો થાય. શૉર્ટ ટેમ્પરનો એક ગેરફાયદો એ છે કે સામેવાળો તરત હર્ટ થઈ જાય. અને સામાવાળાએ એના પ્રત્યે મનમાં રોષ ભરી રાખ્યો હોય છે તે શૉર્ટ ટેમ્પરને ખબર હોતી નથી. તે તરત ભૂલી ગયો હોય છે. સામેવાળો બદલો લેશે તે વાત પણ તેના મનમાં આવતી નથી. શૉર્ટ ટૅમ્પર લોકો દુનિયાના સૌથી વધુ દગાબાજીનો ભોગ બનનારા કમનસીબ લોકો છે.

બીજાને માફ કરવું તેના કરતા વધુ અઘરું પોતાની જાતને માફ કરવું છે.

બીજા પ્રત્યે રોષ ભરી રાખવો માફ નહિ કરવું જે રીતે કોર્ટીસોલ લેવલ વધારે અને ઓક્સિટોસીન લેવલ ઘટાડે તે જ રીતે પોતાના પ્રત્યે રોષ ભરી રાખવો કે પોતાની જાતને માફ નહિ કરવી કે પોતાની જાત પ્રત્યે શરમ અનુભવવી આપણું કોર્ટીસોલ વધારે છે અને ઓક્સિટોસીન ઘટાડે છે. Self-forgiveness is just as important as forgiving others.

આપણે કોઈ બીજાને ફોર્સ ના કરી શકીએ કે તે આપણને માફ કરી દે. ક્ષમા આપવાની પ્રક્રિયામાંથી પસાર થવાની દરેકની પોતપોતાની અલગ સ્પિડ હોય છે. પોતાની ભૂલની માફી માંગી લેવી ઉત્તમ છે. એના માટે LKM (loving-kindness meditation ) સરસ ઉપાય છે. આંખો બંધ કરી મનમાં પ્રેમ, કરુણા અને ક્ષમાનાં વિચારો સાથે પ્રસન્ન મુદ્રામાં ચાર ડગલાં આગળ વધવું જાણે સામે ૧) કોઈ પ્રિયજન ઊભું છે, ૨) જેના પ્રત્યે મનમાં રોષ છે તે ઊભું છે, ૩) કોઈ અજાણ્યું ઊભું છે, ૪) અથવા તો સામે પોતે જ ઉભા છીએ. બસ આટલું કરવામાં ફક્ત થોડી મીનીટોનો જ સવાલ છે.summer_love_wallpaper_rjtz3

 

 

 

 

 

 

 

શ્રાવણ મહિનો આવે એટલે શ્રદ્ધાના મહાપુર શરુ

શ્રાવણ મહિનો આવે એટલે શ્રદ્ધાના મહાપુર શરુ.images2QB2A0IP

અલ્યા હવે વૃક્ષ બહુ રહ્યા નથી, એમાય બીલીના વૃક્ષ ભાગ્યેજ દેખાય છે. બીલ્વાદીચુર્ણ બનાવવા માટે પણ હવે આ વૃક્ષો ઝાઝા વધ્યા નથી. શંકરનાં કોન્સેપ્ટને સમજવાનું તો બાજુ પર રહ્યું પણ એના પ્રતિક એવા શિવલિંગ ઉપર લાખો બિલીપત્ર ચડાવીને બીલીના વૃક્ષનો ખોડો કાઢી નાખવાનું પાપ તે પાછું શ્રદ્ધાના નામે કરવાનું શરુ થઈ જવાનું. લાખો લીટર દૂધ ગટરમાં વાયા શિવલિંગ વહાવી દેવાનું શરુ. અને જો તમે આવી અક્કલહીન વાતોને વખોડો તો પોતાને મુર્ખ તરીકે ઓળખાવામાં ગર્વ સમજતી પ્રજાતિનાં સભ્યો તરત તૂટી પડશે તમારા ઉપર. બુદ્ધિશાળીઓને ગાળો દઈને પોતાને દેશભક્ત અને ધાર્મિક ગણાવતી પ્રજાતિનાં સભ્યો તમારા ઉપર તૂટી પડશે. તર્ક અને બુદ્ધિગમ્ય વાત કરનારને ગાળો દેવાની નવી ફેશન છે. બુદ્ધિજીવીને સરાહનારી બાકીની દુનિયા સામે આ એક જ એવો અજીબોગરીબ દેશ છે જ્યાં બુદ્ધિજીવીને ગાળ દેવામાં લોકો ગર્વ અનુભવી પોતે મહાન છે તેવા મુર્ખ સપનામાં રાચે છે. એમાય જો તમે NRI હોવ તો ખલાસ, તમારું આવી જ બને. તમને કોઈ હક નહિ તમારા મૂળ દેશ વિષે બોલવાનો જ્યાં હજુ તમારા મુળિયા દટાયેલા છે, જ્યાં હજુ તમારા માબાપ ભાઈ-ભાંડુ અને મિત્રો રહે છે, હજુ તે દેશની વિચારધારા અને સંસ્કૃતિ ખૂન બનીને તમારી નસોમાં વહે છે. કારણ તમે તમારા પૂર્વજોની જેમ કમાવા માટે આગળ ધપતા રહીને સર્વાઈવ થવાની બેસિક ઇન્સ્ટીન્કટ ને અનુસર્યા છો.

મુરખોને ખબર નથી કે આખી દુનિયામાં માનવી આફ્રિકાથી ફેલાયો છે તે હવે સાબિત થઈ ચુક્યું છે. સમયની બાબતમાં ભલે મતભેદ હશે પણ માનવ આફ્રિકામાં ઉત્ક્રાંતિ પામ્યો અને ત્યાંથી જ આખા વિશ્વમાં ફેલાયો છે તે હકીકત છે. આશરે ૨૫ લાખ વર્ષ થયા માનવીનાં બહુ જુના મોડેલને ઉત્ક્રાંતિ પામે. ચિમ્પેન્ઝી અને બોનોબોના કાકા કે મોટાબાપા આપણા પૂર્વજ હતા ચિમ્પેન્ઝી નહિ. ચિમ્પેન્ઝી થી ભલે જુદા પડ્યા પણ આશરે ૫ લાખ વર્ષ તો વૃક્ષો ઉપર હુપાહુપ જ કરેલું. પછી ધીમે રહીને નીચે ઉતર્યા. આમ પહેલો દ્રોહ તો આપણને પોષનારા વૃક્ષો છોડી વૃક્ષદ્રોહ કર્યો. જમીન પર નીચે ઉતરીને વિકસતા વિકસતા આગળ પણ વધતા જ રહ્યા. આમ આફ્રિકા છોડી દેશદ્રોહ અને આફ્રિકા નામધારી ખંડનો દ્રોહ પણ કરી નાખ્યો. માનવનૃવંશ શાસ્ત્રીઓ કહે છે માનવ દર વર્ષે એક માઈલ આગળ ધપ્યો છે. અને આમ આગળ ધપતા ધપતા આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. આમ જે તે જગ્યા છોડી એનો દ્રોહ કરવો આપણા લોહીમાં જિન્સમાં છે અને એમ નાં કરો તો વિકાસ પામો નહિ. કહેવાતું વતન છોડી આગળ ધપતા રહેવું તેને દ્રોહ કહેનારાઓએ આફ્રિકા પાછા જઈને વૃક્ષો પર હુપાહુપ કરવાનું શરુ કરી દેવું જોઈએ.

પહેલા મુંબઈ કમાવા જવાનું પણ પરદેશ ગયા હોઈએ તેવું લાગતું. અને મુંબઈ થી ગુજરાત આવાનું હોય તો મિત્રોને કહીએ કે દેશમાં જાઉં છું. આમ આપણે કુટુંબદ્રોહ, ફળિયાદ્રોહ, ગામદ્રોહ, તાલુકાદ્રોહ, જીલ્લાદ્રોહ, રાજ્યદ્રોહ, અને છેવટે દેશદ્રોહ સાથે ખંડદ્રોહ વગરે વખતોવખત કરતા જ આવ્યા છે.

ધર્મ શું છે? દુધ કે તેલનો બગાડ કરવામાં જ આ લોકોનો ધર્મ સમાઈ ગયો છે. હહાહાહાહા ટંકારા નો એક બામણ શિવના મંદિરમાં બેઠો બેઠો વિચારતો હતો કે આ કેવો શિવ? પોતાના ઉપર ફરતા ઉંદરને હટાવી શકતો નથી? અને એણે ના વિચારવાની બહુમત વસ્તીમાં વિચારવાનું શરુ કર્યું, ને બન્યો સ્વામી દયાનંદ પણ પ્રજાના મનમાં બેવકુફીઓ અને અક્કલ વગરની વાતોને ધર્મ તરીકે ખપાવી દઈને એમાં શ્રદ્ધાના વાવેતર કરી મફતમાં વગર મહેનતે રોટલા રળતા બિજનેસ મેનોએ એને લાડવામાં ઝેર આપી મારી નાખ્યો. કેમકે તે આવી મુર્ખ વાતોને વખોડતો હતો.. એક દાખલો આપું. સોમનાથના બ્રાહ્મણો વર્ષો થી લાખો બીલીપત્રોને હજારો લીટર દૂધ શિવજી પર વેડફતા હતા પણ જ્યારે ગઝની ચડી આવ્યો ત્યારે બ્રાહ્મણો શિવજી ત્રીજું નેત્ર ખોલે તેની રાહ જોતા રહ્યા પણ શિવે જરાય મદદ કરી નહિ અને ઉલટાના ગઝનીના મહેલના પગથીયે ચણાઈ જવાનું પસંદ કર્યું.. ક્યા ગઈ અખૂટ શ્રદ્ધા? કરોડો જ કેમ નથી કરતા? મૂર્ખાઈ તો મૂર્ખાઈ જ છે.

 

યજ્ઞોમાં બલિદાન આપનારા, નાળીયેર વધેરનારા, કોળા વધેરનારા, બકરા-ઘેટાની કુરબાની આપનારા, નાના બાળકોની બલી ચડાવનારા, બધાની બ્રેન સર્કીટ સરખી જ કામ કરતી હોય છે. માનવ સમુહમાં રહેવા ઇવોલ્વ થયેલો છે અને સમૂહનો એક લીડર હોય અને તે લીડરને ખુશ રાખવો જરૂરી હોય છે. એને ગીફ્ટ આપવી પડે, બહુ ખુશ કરવો હોય તો પોતાની વહાલી વસ્તુ આપો એટલે તે પ્રભાવિત થઇ જાય. મુશ્કેલ સમયમાં લીડર સમુહને દોરવણી આપતો હોય બચાવતો હોય. એની પૂરી કિંમત વસૂલતો પણ હોય છે. ઘણીવાર નહિ બલકે મોટાભાગે વધુ પડતી વસુલાત કરી લેતો હોય છે જેને શોષણ કહેવાય. બસ આ જ બ્રેન સર્કીટ ભગવાનની કલ્પનામાં કામ કરતી હોય છે. વાતો ભલે ઈશ્વર અલ્લાહ એક જ છે તેની કરીએ પણ મેમલ બ્રેન માટે લીડર જુદા જુદા હોય તેમ ભગવાન પણ જુદા જુદા અને માનવ લીડર જેવા જ રહેવાના. તેઓને ખુશ કરવા પ્રસાદ ચડાવો, ગીફ્ટ આપો બાધા રાખો, કુરબાની આપો, બલિદાન આપો. બાકી જેણે જગત રચ્યું છે તેને તમારા ફેઈથ, શ્રદ્ધા, ભક્તિ વગેરેના પ્રમાણ કે સાબિતી, બલિદાન કે કુરબાની કે પ્રસાદની શું જરૂર? તમે આ બધુ નહિ કરો તો પણ એ તો એનું કામ કરવાનો જ છે. ભગવાન કે અલ્લાહને આપણે એના ખરા અર્થમાં માનતા જ નથી. એ આપણા માટે એક ગ્રીડી નેતા જેવો જ છે. એટલે કહું છું બધા આપણા બ્રેનના જ ગતકડા છે.

પેલી દલા તરવાડીની વાર્તા યાદ છે ને? નવી પેઢીના યુવાનોને નહિ ખબર હોય ચાલો ટૂંકમાં કહી દઉં. દલા તરવાડી રીંગણનાં ખેતરમાં ગયેલા. ખેતર માલિક હાજર હતો નહિ એટલે માલિકને પૂછ્યા વગર રીંગણા તોડવા મોરાલીટી વગરનું કહેવાય. હવે માલિક હતો નહિ તો પૂછવું કોને ? એટલે એમણે તોડ કાઢ્યો અને બુમ પાડી કે રીંગણા લઉં બેચાર? અને જાતે જ જવાબ આપ્યો બેચાર શું કામ લઈ લે દસબાર. પૂછવાની નૈતિકતા આમ સચવાઈ ગઈ ને કામ થઈ ગયું. આપણે બધા દલા તરવાડીઓ છીએ. જાતે જ ભયના માર્યા રડીએ છીએ અને જાતેજ આકાશવાણી કરીને ઉપાય શોધી કાઢીએ છીએ. આપણું જ બ્રેન આપણા સવાલોના જવાબ આપતું હોય છે. બાકી કોઈ નવરું નથી કુરબાની કે બલિદાન માંગવા. વેજીટેરીયન હોય તે નાળીયેર વધેરે કોળું કાપે અને નોન-વેજી બકરું કાપે શું ફરક પડ્યો? નાળીયેરની ચોટલી શું કામ રાખીએ છીએ? નાક જેવું લાગે ઉપર બે આંખો, માથાં જેવું લાગવું જોઈએ ને? હવે તલવારથી વધેરવું હોય તો નાળીયેર જરા કાઠુ પડે તો મુકો કોળું ફસ દઈને જુદું..

અલ્યા મુરખો શંકર આખો દિવસ ધ્યાનમગ્ન રહેતા હતા. ૨૪/૭ મેડીટેશન કરતા હતા. એમાં એમનું આજ્ઞાચક્ર ખૂલેલું હતું તેને ત્રીજું નેત્ર કહેવાય. આપણને નાં સમજાય તે તેને સમજાતું હતું, દેખાતું હતું. બીજો અર્થ એવો પણ નીકળે કે કુદરતના સર્જનાત્મક અને વિસર્જનાત્મક પરિબળો ને શંકર કહેવાય, એ કોઈ હિમાલયમાં વાઘનું ચામડું પહેરીને ફરતો નથી. આપણે સ્ટોરી ટેલીંગ ચિમ્પેન્ઝી છીએ. વાર્તાઓ ઘડીને કહીને કશું શીખવનારા. ગ્રીક માઇથોલજિ હોય કે હિંદુ કે બાયબલની વાર્તાઓ બધે આપણે વાર્તાઓ માંડી છે. એમાં ઐતિહાસિક તથ્યો હોય પણ ખરા અને નાં પણ હોય.

એક હરણ યુગલ સંભોગ જેવા પવિત્રતમ કાર્યમાં રત હતું, અને પાંડુ રાજાએ તીર મારી શિકાર કરી નાખ્યો. મરતા યુગલે શ્રાપ આપ્યો કે તું હવે સંભોગમાં રત થઈશ તે ક્ષણે તારું મોત થશે. વાર્તા સાચી છે કે નહિ તે બાજુ પર મુકો મેસેજ સરસ છે. કોઈ પ્રેમી યુગલ પ્રેમ કરતુ હોય ત્યાં ભંગ પડાવવા નાં જવાય. ટીકી ટીકી ને જોઈ નાં રહેવાય. જ્યાં એક નવા જીવના અવતરણ માટે કામ થઈ રહ્યું હોય ત્યાં ભંગ પાડવો પાપ કહેવાય. પાંડુ ને વળી બે પત્નીઓ હતી. રિસ્ક વધારે હતું, ડબલ રિસ્ક. કુંતી તો દૂર જ ભાગતી હતી. પણ માદ્રી યુવાન હશે પાંડુ તો કાબુ રાખી શક્યો નહિ માદ્રી પણ રાખી શકી નહિ હોય. સંભોગમાં રત થઈ ગયા ને પાંડુનું મૃત્યુ થયું. પાંચ પાંડવોનાં ફાધરની વાત કરું છું. ઘણા ને ખબર હોતી નથી એટલે ચોખવટ કરી. શિવલિંગ અને જલાધારી તે શંકર પાર્વતીના (સ્ત્રી-પુરુષના) જાતીય અંગો છે. સર્જનમાં વ્યસ્ત છે એના પર દૂધ રેડવા જઈને ભંગ પડાવશો નહિ. કુદરતના રાજમાં ક્યાંક ને ક્યાંક સતત સર્જન અને સતત વિસર્જન ચાલતું જ હોય છે. એમાં આડે આવવું નહિ. શંકરની જેમ મેડીટેશન કરો તો બ્રેનમાં ગ્રે મેટર વધશે. લાગણીઓ પર તર્ક અને બુદ્ધિનો કાબુ વધશે તો પોજીટીવ લાગણીઓ વધશે, નેગેટીવ લાગણીઓ ઓછી થશે, ભય ઓછો થશે, તો ભગવાન અને ભૂત બંને ભાગી જશે. તમને ખબર નહિ હોય મેડીટેશન કરવાની ૧૦૮ પદ્ધતિઓની શોધ આ શંકરના નામે બોલે છે.

અહેવાલે વિમોચન

અહેવાલે વિમોચનKA July 14 1314

ગુજરાતી હોય અને ન્યુ જર્સીમાં રહેતો હોય અને તેના ઘરમાં ‘ગુજરાત દર્પણ’ નાં હોય તે પાકો ગુજરાતી ના કહેવાય. ગુજરાતી ગમે ત્યાં જાય રહેવા એનું પાકું ગુજરાતીપણું દેખાયા વગર રહે નહિ. આ તો ઉત્તર ધ્રુવની ઠંડી એનાથી સહન થાય નહિ બાકી આર્કટિક સર્કલમાં રહેતા ચુ ચી નામની બહુ જૂની માનવજાત માટે ચા અને ભજીયાની દુકાન ખોલીને બેસી જાય. અને અમારા સૌના વહાલા શ્રી સુભાષભાઈનું ‘ગુજરાત દર્પણ’ એની દુકાને નિ:શુલ્ક ત્યાં પણ મળવા માંડે. લગભગ ૨૧ વર્ષ જૂનું આ માસિક ન્યુયોર્ક, ન્યુ જર્સી, પેન્સીલવેનિયા સાથે શિકાગો, જ્યોર્જીયા, કેલિફોર્નયા, અને ટેક્સાસ જેવા રાજ્યોમાંથી પણ પ્રસિધ્ધ થાય જ છે.

સાહિત્યકાર હોય એ તો નાનું મોટું સાહિત્ય સર્જન કરીને સાહિત્યની સેવા કરવાનો જ છે પણ ઘણીવાર સાહિત્યકાર કરતા સાહિત્યપ્રેમી સાહિત્યની વધુ સેવા કરતો હોય છે. ગુજરાત

શ્રી કૌશિકભાઈ અમીન, શ્રી જય વસાવડાએ લખેલી પ્રસ્તાવના વાંચતા.
શ્રી કૌશિકભાઈ અમીન, શ્રી જય વસાવડાએ લખેલી પ્રસ્તાવના વાંચતા.

દર્પણના તંત્રી-માલિક શ્રી સુભાષભાઈ એવા સાહિત્યપ્રેમી છે. એમના ગુજરાત દર્પણમાં મોતી વેરાણા ચોકમાં જેવું છે. એમાં વાર્તાઓ, કવિતાઓ, લેખો, ધારાવાહિક નવલકથાઓ, સામાજિક-ધાર્મિક સંસ્થાઓના સમાચારો, દેશ દુનિયાના સમાચારો, અનંતની ખોજ જેવી વૈજ્ઞાનિક માહિતીનો ખજાનો, પુસ્તકોના રીવ્યુ, વિસા બુલેટીન, સરકારી લાભાલાભની માહિતી અને અહી કરતા તમામ ભારતીયોના ધંધા-પાણીની અસંખ્ય જાહેરાતો અને આ બધું પાછું નિ:શુલ્ક વાંચવા મળે. દંત-ચિકિત્સકની મુલાકાતનો સમય જોઈતો હોય કે પૂજા કરાવવા મહારાજ જોઈતા હોય કે સાંધા-શુલ નિવારણ કેન્દ્રની મુલાકાત લેવી હોય, વરરાજા માટે ઘોડો જોઈતો હોય કે ઢોલી, ભોજન સમારંભ માટે પાકવિદ્યા વિશારદ જોઈતા હોય, આવું તો અનેક જોઈતું હોય તો ટેબલ પર પડેલું ગુજરાત દર્પણ ઉઠાવો અને એમાંથી ફોન નંબર શોધી ફોન કરો તકલીફ નિવારણ થઈ જ જાય.

સુભાષભાઈ એમની આ સ્ક્વેર ફૂટમાં ગણીએ તો નાનકડી પણ લાગણીની આંખે જોઈએ તો વિશાળ ઓફિસમાં ગુજરાતી પુસ્તકોની લાઈબ્રેરી પણ ચલાવે છે. દર મહીને રીવ્યુ માટે મોકલતાં પુસ્તકોને લીધે એમાં પણ વધારો થયે જ જતો હોય છે. લાઈબ્રેરી માટે સભ્ય ફી છે ફક્ત એક ડોલર પછી કોઈ ચાર્જ નહિ. વળી મહિનામાં એક રવિવારે અહીંના સ્થાનિક સર્જકોને ભેગા કરવાના તે નક્કી. ભારતથી આવીને અહી વસેલા સર્જકો, અહી આવીને પછી બનેલા સર્જકો, નાનામોટા કોઈ ભેદભાવ વગર બધા અહી ભેગા થાય, સાહિત્ય સમારંભનું સંચાલન માતા સરસ્વતીની પ્રાર્થના સાથે સુપેરે શ્રી કૌશિક અમીન કરે. સર્જકો પોતપોતાની કૃતિઓ વાંચે, એના પર સમય હોય તે પ્રમાણે ચર્ચા થાય, કોઈ સર્જકના પુસ્તકનું વિમોચન થાય, છેવટે મસ્ત મજાના ગુજરાતી ભોજન સાથે સમારંભનું સમાપન થાય.

KA July 14 1333૨૦૦૫માં અહી વસવાટ કરવા આવ્યો ત્યારનો ગુજરાત દર્પણ વાંચતો પણ એની સાહિત્ય સભામાં ભાગ લેવા મળશે તેની કોઈ કલ્પના નહોતી. અને એ ‘ગુજરાત દર્પણ’ ની સાહિત્ય સભામાં ગત રવિવારે મારા પુસ્તકનું વિમોચન શ્રી સુભાષભાઈ, શ્રી કૌશિકભાઈ અને ડૉ શ્રી અમૃત હઝારી સાહેબના હસ્તે થયું તે મારા માટે અમુલ્ય દિવસ હતો. આ સાહિત્ય સભાના જુના જોગી એવા સ્વ. ભાનુભાઈ ત્રિવેદીનાં પુસ્તક ‘લગ્ન અનિવાર્ય કે નિવાર્ય’ નું વિમોચન એમની દીકરી અને પૌત્રીઓનાં સંગાથે કરવાનો લાભ પણ અમને મળ્યો. વિમોચન વિધિ પૂરી થયા પછી મારા પુસ્તક વિષે કહેવાનું શ્રી કૌશિકભાઈને માથે નાખેલું જ હતું. કૌશિકભાઈએ પોતે કાઈ કહેવાને બદલે પુસ્તકની પ્રસ્તાવના વાંચી જવાનું વધુ મુનાસીબ માન્યું. કારણ આ પ્રસ્તાવના બહુ દિલથી જાણીતા અખબાર ગુજરાત સમાચારના ફેમસ કટાર લેખક જય વસાવડાએ લખેલી છે. હવે જય વસાવડાની ઓળખ આપવાની હોય નહીં. કૌશિકભાઈએ બહુ પ્રેમથી આખી પ્રસ્તાવના વાંચી નાખી. પછી મને કહે હવે તમારા લેબર પેએન ની વાત કરો. મારી સાથે સહુ હસી પડ્યા. એક સર્જકની કૃતિ જ્યારે જન્મ લેતી હોય છે ત્યારે એને પણ પ્રસુતિની પીડા અનુભવવી પડતી હોય છે.

મૂળ આપણે ભાષણના માણસ નહિ, મતલબ શ્રોતા બહુ સારા પણ વક્તા તરીકેનો અનુભવ નહિ. એટલે જે કહેવું હતું તે લખીને લાવેલો. એમાંથી ક્યાંક બોલવાનું રહી પણ ગયું હશે, પણ મારે જે કહેવું હતું અને જે લખીને લાવેલો તે નીચે મુજબ છે.

વિમોચન ભાષણ

પ્રથમ તો સુભાષભાઈ નો આભાર માનવો પડે કે તેઓ અહી એક સરસ પ્લેટફોર્મ પૂરું પાડે છે. અને એમની સહન શક્તિ ને દાદ આપવી પડે કે આપણે બધા જે લખી લાવીએ છીએ તે વગર સંકોચે સાંભળે છે. બીજો આભાર ખાસ અમૃત હઝારી સાહેબનો માનવો છે કે મને અહી ખેંચી લાવેલા. બાકી આજે જે મોકો મને મળ્યો છે તે મળત નહિ.

મૂળ હું ભાષણનો માણસ છું નહિ. એટલે ફટાફટ મારા ફેમીલી વિષે ટૂંકમાં જણાવી દઉં કે ફાધર મારા વકીલ હતા અને દાદા કડાણા સ્ટેટના દીવાનસાહેબ. કડાણા તો ડૂબમાં જતું રહ્યું છે પણ કડાણા ડેમ તરીકે હજુ એનું નામ જળવાઈ રહ્યું છે. આમ અમે પાટણનાં સ્થાપક રાજવી વનરાજ ચાવડાનાં સીધા જ વંશજો. મારા પિતાના દાદા કહો કે દાદાના પિતા કહો જેઠીસિંહજી મારા જન્મના બરાબર ૧૦૦ વર્ષ પહેલા એટલે કે ૧૮૫૭નાં બળવા વખતે અથવા ગાયકવાડનું લશ્કર માણસા પર ચડી આવેલું ત્યારે જે લડાઈ થયેલી એમાં લડેલા. એમના બખ્તરની જાળીઓ ફાધર નાના હતા ત્યારે રમેલા. તીરનું આખું ભાથું મારા ઘરમાં હતું મારા ત્રણ મહા તોફાની છોકરાઓએ બધા તીર રમી રમી ને નાશ કરી નાખેલા. આમ વનરાજ ચાવડા અથવા તેના કરતા પણ પહેલાથી માંડીને એટલીસ્ટ પરદાદા જેઠીસિંહ સુધી અમારા ફેમિલીનો મુખ્ય બિજનેસ તલવારો ચલાવવાનો અને જનોઈવઢ ઘા મારવાનો હતો. દાદા દીવાન હતા અને અંગ્રેજોની શાસન પુરજોશમાં હતું એટલે એમનાથી પછી આ બિજનેસ બંધ થઇ ગયો. પણ આ પેઢીઓ જૂની આદત હવે મારી કલમમાં વર્તાય છે એમાં મારો કોઈ વાંક નથી.

સ્વ. ભાનુભાઈનાં પુસ્તક 'લગ્ન અનિવાર્ય કે નિવાર્ય' નું વિમોચન.
સ્વ. ભાનુભાઈનાં પુસ્તક ‘લગ્ન અનિવાર્ય કે નિવાર્ય’ નું વિમોચન.

દરબારો માટે એક મીથ કે દરબારો કા તો પોલીસ અને આર્મીમાં હોય અથવા ડ્રાઈવર.. મારા મોટાભાગના સગાવહાલા પોલીસખાતામાં છે. ફાધરને એ ગમતું નહોતું કે કરપ્ટ થઇ જવાય. માટે પોતે અમરેલીમાં પોલીસમાં હતા તે જોબ છોડી અને અમને ચારે ભાઈઓને પોલીસમાં જવા માટે ઉત્સાહિત કર્યા જ નહિ. એમને મન એડ્યુકેશનનું મહત્વ બહુ હતું. ફાધર પોતે વકીલ હતા વિજાપુર લાયબ્રેરીના અને બાર લાયબ્રેરીના પ્રમુખ હતા, થીયોસોફીસ્ટ હતા. જે. કૃષ્ણમૂર્તિને રૂબરૂ સાંભળવા ગુજરાત થી છેક મદ્રાસ જતા. બસ એમના સંસ્કારોને લીધે અમે ચાર ભાઈઓ અને એમના વસ્તારમાં ત્રણ પીએચડી છે, બે એન્જીનીયર, બે એમબીએ, બે વૈજ્ઞાનિકો, બે પ્રોફેસર, એક પ્રિન્સીપાલ છે બધું મારા સિવાય હું ખાલી બીકોમ જ છું. એટલે પેલું મીથ ફાધરે તોડી નાખેલું.

મને ખબર નહોતી કે હું લખીશ. બચપણમાં ખુબ વાંચેલું. ૧૧મા ધોરણમાં હતો અને ઓશોને સાંભળવા સાયકલ લઈને બહુચરાજી રોડ પર આવેલા રજનીશ સ્વરૂપમ ધ્યાન કેન્દ્ર ઉપર જતો. મારા એક માર્ક્સવાદી સામ્યવાદી મિત્ર પણ આવતા. કોણ કોની પાસેથી શું શીખે કશું કહેવાય નહિ. પેલા પરમ નાસ્તિક મિત્ર ઓશોને સાંભળી સાંભળી પરમાસ્તિક થઇ ગયાને હું આસ્તિક નાસ્તિક. હહાહાહાહા

ફાધર વિજાપુર લાયબ્રેરીના પ્રમુખ હતા એટલે સંચાલક મને કબાટની ચાવીઓ જ આપી દેતા, માથુ નાં ખાઈશ એવું કહીને. મુનશી, પન્નાલાલ, ધૂમકેતુ, ર.વ.દેસાઈ મેઘાણી જેવા અનેક સાહિત્યકારોને ખુબ વાંચી નાખેલા. પણ કવિતા આપણું કામ નહિ.

૨૦૧૦મા મને લેઓફ મળ્યો નોકરી ગઈ. આખી રાતની જોબ કરેલી એટલે રજા હોય છતાં રાતે ઊંઘ આવે નહિ. મંતરી મંતરીને કામચલાઉ કોમ્પ્યુટર શીખ્યો. મને લેખક બનાવવા KA July 14 1329પાછળ કાન્તીભટ્ટનો બહુ મોટો હાથ છે. રાતે ઓનલાઈન દિવ્યભાસ્કર વાંચું. એમાં એમના લેખ આવે. ઘણીવાર એવું લોજીક વગરનું લખે કે ખોપરી હટી જાય. એમાં કોમેન્ટ્સ આપતો. મારી બેચાર લાંબી લાંબી કોમેન્ટ્સ ને દિવ્યભાસ્કરે ઓનલાઈન એડીસનમાં લેખ તરીકે મૂકી એમાં બંદાને લખવાની ચાનક ચડી. પછી તો “કુરુક્ષેત્ર”(સ્ટાર્ટ થીંકીંગ) raolji.com નામનો  બ્લોગ બનાવીને લખવાનું શરુ કર્યું. એમાં ૪૧૬ આર્ટીકલ્સ આજ સુધી લખીને મુક્યા છે અને બ્લોગ ૩૪૭૦૦૦ વખત ક્લિક થઇ ચુક્યો છે.

મારી રેશનલ વિચાધારા છે એવું મિત્રો કહેતા હોય છે મને ખબર નથી. એટલે સાયન્સ પ્રત્યે વધુ મોહ. એમાય ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન હાથમાં આવી ગયું. પહેલા ખુબ વાંચું છું પછી ખુબ મનન કરું એમાંથી લેખ લખાય છે. સાહિત્યમાં લલિત અને માહિતીસભર બે જાતના નિબંધ લખાય છે. મારા આ નિબંધોમાં વૈજ્ઞાનિક માહિતી રીસર્ચ નો ભરપુર ઉપયોગ કરીને મારું ચિંતનમનન પણ ઉમેરું જ છું.

તમે ગીતા વાંચી છે? સુખદુઃખ માં સમભાવ રાખવો તેવું એમાં લખ્યું છે પણ આપણે રાખી શકતા નથી. નરસૈયો કહે છે સુખદુઃખ મનમાં ના આણીએ રે ઘટ સાથે રે ઘડિયા. આના વિષે જાત જાતની ફીલોસફી આપણા તત્વજ્ઞાનીઓ સમજાવે છે પણ કોઈ ફરક પડતો નથી. સુખદુઃખ પાછળ કોઈ ફીલોસફીને બદલે એની પાછળ બાયોલોજી હોય તેવું તમે માની શકો છો? એની પાછળ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે તેવું તમે માની શકો છો? અરે એની પાછળ ન્યુઅરોસાયંસ છે તેવું તમે માની શકો છો? નથી માની શકતા ને? તો આ પુસ્તક તમારે જરૂર વાંચવું જોઈએ. સર્વાઈવલ માટે થ્રેટ અનુભવીએ એટલે દુઃખની લાગણી પેદા થાય અને સર્વાઈવલને સપોર્ટ કરતુ કશું પણ બને તરત હર્ષની લાગણી ઉદભવે અને તેના માટે મગજમાંથી સ્ત્રવતા રસાયણો જવાબદાર હોય છે તેની સરળ વિગત અને સમજુતી વાંચવી હોય તો આ પુસ્તકના પાનાં ઉકેલવા પડે.

બિલ ક્લિન્ટન આટલો બધો પ્રતિષ્ઠિત માણસ એક મહાન દેશનો સર્વોચ્ચ વડો એની એક કારકુન સાથે મળીને એની તમામ પ્રતિષ્ઠા ધૂળમાં મેળવવા શા માટે મજબૂર બન્યો? અર્નોલ્ડ કેલીફોર્નીયા જેવા માતબર સ્ટેટના ગવર્નર હોલીવુડના આકાશમાં સદૈવ ઝગમગતા તેજ સિતારા લાંબુ લગ્નજીવન ભાગી પડે તેટલી હદે ઘરમાં કામ કરતી મહિલામાં કેમ ફસાયા? કોઈ પ્રતિષ્ઠિત કરોડપતિની દીકરી કહેવાતા મવાલી જોડે ભાગી જાય છે ત્યારે આખા સમાજને આંચકો લાગે છે. કોઈ મહારાજાની દીકરી એના ડ્રાઈવર જોડે લગ્ન કરી લે છે ત્યારે લોકોને બહુ મોટો આઘાત લાગતો હોય છે. આવું તો ઘણું બધું આપણને સમજાતું નથી. તે સમજવા અને ઉત્ક્રાન્તિના ફોર્સ તમને કેવી રીતે ખેંચી જાય છે તે સમજવું હોય તો આ પુસ્તક ખોલવું પડે.

માનવસમાજ પૉલીગમસ હતો, બહુપતિત્વ અને બહુપત્નીત્વ સામાન્ય હતું. હવે જ્યારે માનવસમાજ લગભગ મોટાભાગે મનૉગમસ બની ચૂક્યો છે,  ત્યારે સ્ત્રી અવિશ્વસનીય છે તેવું માનવાનું ટાળી શકાય. લગ્નવ્યવસ્થાને લીધે સ્ત્રી પાસે કોઈ ચૉઈસ ના રહી હોય અને લગ્ન પછી કોઈ હાઈ-ટૅસ્ટાસ્ટરોન લેવલ ધરાવતા કોઈ પુરુષના સંપર્કમાં આવી જવાય અને જો ઇવલૂશનરી ફૉર્સના દબાણમાં આવી લગ્નેતર સંબંધ બંધાઈ જવાની તૈયારી થઈ ગઈ હોય તેવામાં સમજ આવી જાય કે આ તો ઇવલૂશનરી ફૉર્સ દબાણ કરી રહ્યો છે. ચેતો ભાઈ, બચો !! તો બચી શકાય અને લગ્નજીવન તૂટતું બચી જાય. સમજી લેવાય કે આવું આકર્ષણ એ ફક્ત કૉપિ પાછળ મૂકી જવાનું એક ઉત્ક્રાંતિનું જેનિસમાં રહેલું દબાણ માત્ર છે અને બાળકો તો છે જ અને આરામથી મોટા થઈ રહ્યા છે, હવે કોઈ પ્રયોજન નથી, ઉત્ક્રાંતિનો ક્રમતો સચવાઈ ગયો છે. તો એવા  આકર્ષણમાં ખેંચાઈ જવાનું કોઈ કારણ નથી તો બચી શકાય. મોટા ભાગે સ્ત્રીઓ પર અવિશ્વાસ એમના ઉપર જુલમનું કારણ બનતો હોય છે. ઇવલૂશનની હિસ્ટરીમાં સ્ત્રી માઇલ્ડ પ્રામિસ્ક્યૂઅસ રહી છે. આ અવિશ્વાસ રાખવાનું હવે મનૉગમસ સમાજમાં કોઈ કારણ નથી. પુરુષ તો ૧૦૦ ટકા પ્રામિસ્ક્યૂઅસ છે, સ્ત્રી માઇલ્ડ પ્રામિસ્ક્યૂઅસ રહી છે. આ બધા ઇવલૂશનરી ફૉર્સ સમજી લેવાય તો કજિયાકંકાસ,  મારઝૂડ અને ઝગડાથી બચી શકાય. જે પુરુષોમાં ટૅસ્ટાસ્ટરોન લેવલ હાઈ હોય તે આક્રમક રહેવાના. અને સ્ત્રી હાઈ-ટૅસ્ટાસ્ટરોન લેવલ ધરાવતા પુરુષને પ્રથમ પસંદ કરતી હોય તે સ્વભાવિક છે, હવે બંને જણા આ વાત સમજતા હોય કે હાઈ-ટૅસ્ટાસ્ટરોન લેવલ અગ્રેસિવનેસ લાવે છે તો એનાથી બચી શકાય કે નહિ? રોગનું નિદાન જ દવા બની જાય.

 

કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મમતા, સુખ, દુખ અને ભય જેવી લાગણીઓ કુદરત સ્વાભાવિક મૂકે છે. એમાં એનો હેતુ ઉત્ક્રાંતિનો છે. પણ એના ફૉર્સ સમજીએ તો એના દુષ્પરિણામો નિવારી શકાય. માટે મેં સીધા દાખલા આપીને પુસ્તકનો મુખ્ય હેતુ બતાવી દીધો છે. સુખ અને દુઃખ ન્યુરોકેમિકલ્સ આધારિત હોય છે. એના ચડાવ ઉતાર સમજી શકીએ તો ડિપ્રેશન દુર ભાગે. પ્રાચીન મનીષીઓએ એમના અનુભવો દ્વારા એમના ચિંતન દ્વારા તત્વજ્ઞાન ઘણું દર્શાવ્યું છે ભલે તેઓ આધુનિક ન્યુઅરો સાયન્સ અને બાયોલોજિથી અજ્ઞાન હતા.. આ પુસ્તકને એક રીતે રાસાયણિક ગીતા સમજવી હોય તો સમજી શકો છો.. માનવ સ્વભાવના જટિલ સત્યો વિષે જે આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે તે કોઈ અરાજકતા ફેલાવવા માટે નહિ. જે સંસ્કાર ઉત્ક્રાંન્તિના ક્રમમાં જીનમાં મળ્યા છે તે હાલની સમાજ વ્યવસ્થા માટે કોઈ વાર જોખમી બની જતા હોય છે. તો એની સમજ હોય કે આ તો ઇવલૂશનરી ફૉર્સ ખેંચી રહ્યો છે તો એના દબાણથી મુક્ત થઈ શકાય.

હ્યુમન બિહેવ્યર પાછળની સાયકોલોજી વિષે તો આધુનિક મનોવૈજ્ઞાનિકો અને સાયકાયટ્રીસ્ટ લખતા જ હોય છે પણ આ બધાની પાછળની બાયોલોજી વિષે આ પુસ્તકમાં ઘણું લખાયું છે. ટૂંકમાં હવે હ્યુમન બિહેવ્યર સમજવા માટે એકલો ફ્રોઈડ નહિ ચાલે તમારે એની સાથે ડાર્વિન ને પણ ઉમેરવો પડશે, રીચાર્ડ ડોકિન્સને પણ ઉમેરવો પડશે.”

મિત્રોનો આભાર માની પછી મેં પૂરું કર્યું.

મારું આ સંભાષણ બધા મિત્રોએ રસપૂર્વક ધ્યાનથી સાંભળ્યું હતું એવું મને લાગતું હતું. ત્યાર પછી અમદાવાદથી પધારેલા ગેસ્ટ યોગથેરાપીસ્ટ હેતલ દેસાઈનો વારો આવ્યો. એમણે કહ્યું કે બધા આસનો અને બધા પ્રાણાયામ બધા માટે કામના નાં હોય. માણસની પ્રકૃતિ અને એની તકલીફ પ્રમાણે બે આસન અને બે પ્રાણાયામ કાફી છે. એમની વાત તર્કબદ્ધ લાગી. એમણે યોગ, આસન, પ્રાણાયામ વિષે બહુ સરસ માહિતી આપી. તેઓ અમદાવાદમાં ત્રણ સેન્ટર ચલાવે છે. એમના ટીવી પર શો આવી ચુક્યા છે યુ ટ્યુબ ઉપર પણ એમના વિડીઓ મુકેલા જ છે. નેટ ઉપર સર્ચ કરવા માટે એમનું નામ જ કાફી છે. ત્યાર પછી જે મિત્રો હાજર હતા તે બધાએ પોતપોતાની કૃતિઓ વાંચી. એક જબરો વિરોધાભાસ મારા ધ્યાનમાં તો હતો, સુભાષભાઈ પણ તે અનુભવતા હશે એટલે તેઓએ તેનો ઉલ્લેખ કરી જ નાખ્યો. વાત એમ છે કે આ સાહિત્યસભામાં જેટલા સર્જકો આવે છે તેમના મોટાભાગના એન્જીનીયર્સ અને સાયન્સ પ્રવાહમાં ભણેલા ગણેલા છે તે બધા કવિતાઓ અને વાર્તાઓ લખે છે. અને મારા જેવો કોમર્સનો વિદ્યાર્થી સાયંસ આધારિત લેખો લખે છે. અપવાદમાં એક કૌશિકભાઈ નીકળ્યા તેઓ સાયન્સના વિદ્યાર્થી છે અને અનંતની ખોજ નામની જબરદસ્ત વૈજ્ઞાનિક માહિતીથી ભરપુર કોલમ લખે છે.

બધા મિત્રોએ મને ખુબ ખુબ અભિનંદન આપ્યા. પરમમિત્ર પ્રવિણકાંત શાસ્ત્રીજીએ એમની આગવી હુરતી સ્ટાઈલમાં મારા ઉપર પ્રેમનો ઊભરો ઠાલવ્યો. ત્યારબાદ મસ્ત મજાનું સ્વાદિષ્ટ ભોજન માણી બધા છુટા પડ્યા..

ગુજરાત દર્પણ અને ગુજરાત દર્પણની સાહિત્યસભાની જય હો…            KA July 14 1295

સમુહવાદ-જાતિવાદ

સમુહવાદ-જાતિવાદ untitled

હમણા એક રશિયન ટેનિસ પ્લેયર શારાપોવાએ કહ્યું કે હું સચિનને ઓળખતી નથી એમાં બહુ મોટી ધાંધલ થઈ ગઈ, સચિનભક્તો ઉકળી પડ્યા ગાળાગાળી પર ઉતરી પડ્યા. સ્વાભાવિક છે કે એક રશિયન ક્રિકેટ કે ક્રિકેટ પ્લેયર વિષે બહુ જાણતી નાં હોય કે બિલકુલ જાણતી નાં હોય.

હમણા કહેવાતા શંકરાચાર્યે સાઈબાબા કોઈ ભગવાન નથી એમની પૂજા કરવી નકામું છે આવા મતલબનું કશું કહ્યું હશે તો સાઈબાબાના ભક્તો તૂટી પડ્યા એમની ઉપર. શંકરાચાર્ય વળી મોદી વિરોધી છે એ મુદ્દો પાછો આમાં બહુ મોટો ભાગ ભજવી જાય છે. મતલબ મોદી ભક્તો ઓર જોરથી એમની ઉપર એટેક કરવાના. હમણા એક નેતાએ નિવેદન કર્યું કે સેક્સ એજ્યુકેશનને બદલે યોગા શીખવવો જોઈએ તો સેક્સ એજ્યુકેશનની તરફેણ કરનારા એમની ઉપર તૂટી પડ્યા મારા સહીત. તો સેક્સ એજ્યુકેશનનો વિરોધ કરનારા વળી કાઉન્ટર ગોળીબાર કરતા તરફેણ કરનારા ઉપર તૂટી પડ્યા.

હમણા ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ સ્પર્ધા ચાલી રહી છે. જે તે દેશની તરફેણમાં હોય તેવા લોકો તે દેશની ટીમ હારતી હોય તો એમના મોતિયા મરી જાય છે. એક જબરદસ્ત ફૂટબોલ મેનીયા હાલ ચાલી રહ્યો છે. આવો ક્રિકેટ મેનીયા ભારતમાં IPL વખતે ચાલતો હોય છે. કેળાની અમુક ખાસ જાતમાં બીટા કેરોટીન(વિટામીન A) હોય છે. હવે કેળાની આ જાત બધે પ્રચલિત હોય નહિ માટે આખી દુનિયામાં કેળાની જે જાત પ્રચલિત હોય અને સૌથી વધુ ખવાતી હોય તેવી જાતમાં જિનેટિક એન્જિયરિંગ વડે પેલી બીટા કેરોટીન ધરાવતી જાતના જિન ઉમેરી દઈએ તો લાખો લોકોને અંધત્વ થી નિવારી શકાય અને જે લોકો વિટામીન A ની ખામીને લીધે મરતા હોય તેમને બચાવી શકાય યુગાન્ડા જેવા દેશોમાં જિનેટિક એન્જિનિયરિંગ વડે વિકસાવેલા ફૂડ પર પ્રતિબંધ છે. પણ આવા સુપર બનાના જેવા મુદ્દા સોકર મેનીયામાં કોઈને જણાય નહિ.

આપણે ત્યાં ક્રિકેટ મેનીયા કે ઈલેક્શન મેનીયા ચાલતો હોય ત્યારે ઘણા બધા જરૂરી મુદ્દા ભુલાઈ જતા હોય છે. આ દર્શાવે છે કે માનવજાતની કોગ્નીટીવ સિસ્ટમ સબકોન્શિયસ ઈમોશન્સ વડે વધુ દોરાતી હોય છે. જાગૃત વાસ્તવિક હકીકતોનું એનાલીસીસ બાજુ પર રહી જતું હોય છે. એનું કારણ એ હોય છે કે સબકોન્શિયસ ઇન્સ્ટીન્કટ સર્વાઈવલ સાથે જોડાયેલ હોય છે, અને સર્વાઈવલ તો બહુ મહતવની વાત છે. કારણ એ છે કે આપણે સામાજિક પ્રાણી છીએ અને આપણે મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છીએ. એટલે આપણી સબકોન્શિયસ ઇન્સ્ટીન્કટ સમૂહના સર્વાઈવલ સાથે જોડાયેલ હોય છે કારણ જે સમૂહ સાથે આપણે જોડાયેલ હોઈએ તે સર્વાઈવ થાય તો આપણે સર્વાઈવ થઈએ.

આપણે સામાજિક પ્રાણી છીએ અને આપણા સમૂહ, ટ્રાઈબ ઉપર આપણી સલામતી માટે આધારિત રહેવા ઉત્ક્રાંતિ પામેલા છીએ કારણ દર વખતે આપણે એકલા એક વ્યક્તિ તરીકે આપણી જાતનું રક્ષણ કરી શકીએ નહિ. આપણો સમૂહ જે કરતો હોય તેમાં આપણે વધારે સલામતી અનુભવી શકીએ. હવે આ જેની સાથે આપણે જોડાયેલા હોઈએ છીએ તે સમૂહ જુદા જુદા સમયે જુદા જુદા પણ હોઈ શકે. એકસાથે આપણે માનસિક રીતે અનેક સમૂહો સાથે જોડાયેલા પણ હોઈ શકીએ. ફીજીકલી આપણે એક સમૂહ સાથે જોડાયેલા હોઈએ પણ માનસિક રીતે બીજા સમૂહ ઉપર આધારિત હોઈ શકીએ. દાખલા તરીકે મારા કુટુંબ સાથે હું લોહીના સંબંધ વડે જોડાયેલો અને આધારિત હોઉં અને એક ઘરમાં ભેગો રહેતો હોઉં પણ અમુક મારા સંબંધીઓ કોઈ ધાર્મિક પંથમાં ખાસ વધુ માનતા હોય તો મારા નાસ્તિક હોવાના લીધે તેઓ તે બાબતે મારી સાથે અને હું એમની સાથે જોડાયેલ નાં હોઉં. હવે મારો જન્મ કહેવાતી રાજપૂત કોમમાં થયેલો હોય પણ અમુક સંબંધીઓ વૈષ્ણવ સંપ્રદાયમાં માનતા હોય તો તેઓ જુદી જુદી કોમોમાં જન્મેલા હોય છતાં વૈષ્ણવ સંપ્રદાયમાં માનતા લોકોનાં સમૂહ સાથે ધાર્મિક રીતે વધુ જોડાયેલ અને આધારિત હોય.

આપણે એક સાથે અનેક ટ્રાઈબ સાથે જોડાયેલા અને આધારિત હોઈએ છીએ. હું તો મારો જ દાખલો આપું બીજાનો શું કામ? હું જન્મ્યો રાઓલ ચાવડામાં એટલે મારી એક ટ્રાઈબ તે થઈ, અને માણસાનાં અભેસિંહના માઢમાં આવેલા રાઓલ્સ મારા કુટુંબીઓ એટલે તે મારી પોતાની ક્લોઝ ટ્રાઈબ થઈ, મારા ગામના નાગરીકો ભલે ગમે તે કોમના હોય પણ મારું ગામ મારી એક ઓર ટ્રાઈબ થઈ, મારા વિચારો રેશનલ એટલે રેશનાલીઝમમાં વિશ્વાસ ધરાવતા લોકોનો સમૂહ મારી અલગ ટ્રાઈબ થઈ. આવું આવું ગણો તો એક સાથે અનેક ટ્રાઈબ જેવી કે ગુજરાતી, ગુજરાતી રાજપૂત, ભારતીય, હિંદુ-નાસ્તિક, ક્રિકેટનો ફેન હોઉં તો ક્રિકેટ, સચિન ફેન હોઉં તો તે, બચ્ચન ફેન હોઉં તો તે, આમ વિધવિધ ટ્રાઈબ સાથે હું જોડાયેલ હોઈ શકું. એટલે ક્રિકેટ વિરુદ્ધ કોઈ બોલે તો તરત મને લાગે કે મારી ટ્રાઈબ પર ખતરો છે. રાજપૂત કોમ વિરુદ્ધ કોઈ બોલે તો તરત મને લાગે મારી ટ્રાઈબ પર ખતરો છે. અને મારી ટ્રાઈબનાં સર્વાઈવલ ઉપર મારું સર્વાઈવલ આધારિત છે.

ભલે મેં જીંદગીમાં હોકી સ્ટીક પકડી નાં હોય કે ક્રિકેટનું બેટ પકડ્યું નાં હોય પણ મારા ભારતની હોકી ટીમ કે ક્રિકેટ ટીમની જીતમાં મારી જીત અને હારમાં મારી હાર હોય છે. મારી પસંદની ટીમ જીતે તો એમાં મારું સર્વાઈવલ હોય છે અને હારે તો થ્રેટ.. મારી ટીમ જીતે તો ભલે મેં એમાં રતીભાર પ્રયત્ન કર્યો નાં હોય પણ હેપી ન્યુરોકેમિકલ્સનો સ્રાવ અતિશય આનંદ આપતો હોય છે અને હારે તો કોર્ટીસોલ સ્ત્રવીને ભારોભાર દુઃખ આપતું હોય છે.

  આપણે કહીએ કે આપણે બધા સરખાં છીએ. એવરીવન ઇઝ ઇક્વલ. એક ઉચ્ચ આદર્શ ગણીએ તો સારી વાત છે.  Equality is an abstraction, and the mammal brain does not process abstractions. આપણા આવા અનેક આદર્શો અમૂર્ત વિચારણા હોય છે. અહિંસા પરમોધર્મ, વસુધૈવ કુટુમ્બકમ અને ઇક્વાલિટી જેવી અનેક અમૂર્ત વિચારણાઓને મેમલ બ્રેઈન પ્રોસેસ કરી શકતું નથી. તેની ભૂખ feel good  પૂરતી હોય છે. અને ફિલ ગુડ ક્યારે આવે? સર્વાઈવલને સપોર્ટ કરતી કોઈ પણ વસ્તુ બને ત્યારે ફિલ ગુડ આવે. એટલે મારી ટીમ જીતે, ગુજરાતી તરીકે મોદી વડાપ્રધાન બને, મારા ભાઈને રાષ્ટ્રપતિ ચંદ્રક મળે, સાઈના નેહવાલ બેડમિન્ટન કપ જીતી જાય, શ્રેયા ઘોષાલ કે ઐશ્વર્યા મજુમદારને ફિલ્મફેર એવોર્ડ મળે, આવું તો ઘણું બધું થાય ત્યારે મને ફિલ ગુડ અનુભવાય.    imagesFSE90FQN

આપણે જાતિવાદને વખોડીએ છીએ. જાતિ કે કોમ શું છે? તમારો પોતાનો નજદીકનો સમૂહ છે. વેરી ક્લોઝ સમૂહ છે. વેરી કોલોઝ ટ્રાઈબ. એના કરતા પણ વેરી ક્લોઝ સમૂહ આપણું કુટુંબ હોય છે. તમારા વ્યક્તિગત અંગત કામ માટે કશું કરો તો સ્વાર્થ કહેવાય છે. કુટુંબ માટે કશું કરો તો કુટુંબ માટે બલિદાન આપ્યું કહેવાય. કુટુંબ કરતા કોમ અને કોમ કરતા ગામ મોટી જાતિ જ થઇ એક રીતે. રાજપૂત, પટેલ, ઠક્કર જેવી અનેક જાતિઓ કરતા મહેસાણી, કાઠીયાવાડી, સુરતી, બનાસકાંઠીયા, પંચમહાલિયા, બરોડીયન, અમદાવાદી વગેરે જાતીઓનું ફલક જરા મોટું થઈ ગયું. જાતિવાદ તો આમાં છે જ પણ ફલક મોટું થતું જાય છે. આ બધું ભેગું કરો એટલે મહાજાતી ગુજરાતી થઈ જાય. આમ ગુજરાતી, રાજસ્થાની, કર્ણાટકી, કેરાલીયન આવા બીજા પણ ગણીએ તો આમાં જાતિવાદ વળી બહુ મોટા ફલક પર વિસ્તરી જાય. છવટે ભારતીય તરીકે રાષ્ટ્રવાદી કહેવાઈએ પણ આમાં જાતિવાદનું ફલક અતિવિશાળ થઇ જતું હોય છે. જેમ જેમ નાના ફલક ઉપર કામ કરતા જાવ તેમ તેમ સ્વાર્થી કહેવાઓ અને જેમ જેમ મોટા જાતીવાદી ફલક ઉપર કામ કરતા જાવ તેમ તેમ પરોપકારી વધુ કહેવાતા જવાના. છેવટે રાષ્ટ્રવાદી કે પછી માનવતાવાદી કહેવાઈ શકો. ઉમાશંકર જોશી પાછલી ઉંમરમાં પોતાને વિશ્વમાનવ તરીકે માનતા થઈ ગયેલા.

જાતિવાદ એટલે સમૂહવાદ પછી તે નાના ફલક ઉપર હોય કે વિશાલ. અને સમૂહવાદ એટલે મેમલ બ્રેન જે કરોડો કરોડો વર્ષથી સર્વાઈવલ માટે વિકસેલું છે. જાતિવાદ કદી નાશ પામવાનો નથી, તમે નવી નવી જાતિઓ ઉભી કરો અથવા મોટા ફલક પર કામ કરી પરમાર્થી બનો. તમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર જેવી જ્ઞાતિઓ ભૂંસી નાખો બદલામાં શિક્ષક, એન્જીનીયર, વૈષ્ણવ, ક્લોથ મરચંટ, લેખક, કવિ, બચ્ચન ફેન કે સચિન ફેન જેવી બીજી હજારો જાતિઓ ઉભી કરો. તમારો જાતિવાદ નાના ફલક ઉપર ચુસ્ત હશે તો મોટા ફલક ઉપર એની પકડ ઓછી હશે. એટલે મેં લખેલું કે આપણે ત્યાં કોમવાદ ચુસ્ત છે માટે રાષ્ટ્રવાદ કમજોર છે. રાષ્ટ્રવાદ ચુસ્ત હશે તો કોમવાદ કમજોર હશે. એટલું કરી શકાય કે કોઈ જાતિને નાની મોટી હલકી કે ભારે નાં સમજીએ.

હવે આ જાતિવાદ, સમુહવાદનું ફલક વિસ્તરતું વિસ્તરતું બીજા મેમલ પ્રાણીઓ અને જીવ જંતુ સુધી વિસ્તરી જાય તો દુનિયા તેને ભગવાન મહાવીર તરીકે ઓળખે છે, ભગવાન બુદ્ધ તરીકે ઓળખે છે.

જાતીય શિક્ષણ (રેડબડ ગામગપાટા ન્યુ જર્સી-૭)

જાતીય શિક્ષણ (રેડબડ ગામગપાટા ન્યુ જર્સી-૭)images09-87

અમારી ગપાટા મંડળીના સભ્ય શાંતિભાઈ આજે જરા ઉગ્ર મિજાજમાં હતા. કેબીનેટ મીનીસ્ટર ડૉ હર્ષવર્ધન ઉપર ગુસ્સામાં હતા. આવતાવેંત કહે, ‘આ ડૉ ગાંડો થયો લાગે છે. કહે છે જાતીય શિક્ષણ બંધ કરી દેવું જોઈએ અને યોગ શીખવવો જોઈએ.’

‘ આમાં અડધું સજેશન ખોટું છે અને અડધું સારું’, મેં કહ્યું.

‘એટલે સમજ્યો નહિ.’

‘જાતીય શિક્ષણ બંધ કરી દેવું જોઈએ તે ખોટું અને યોગ શીખવવો જોઈએ એમાં એક સુધારા સાથે કહું તો મેડીટેશન ખાસ શીખવવું જોઈએ તે સારું’.

‘આ જાતીય શિક્ષણ ની જરૂર શું કામ પડે? આ પ્રાણીઓને તો જરૂર પડતી નથી ?’ અંબુકાકા બોલ્યા.

મને થયું આ મનોવિજ્ઞાનનાં માજી શિક્ષક શાંતિભાઈ, અંબુકાકા ઉપર પણ ગુસ્સે થવાના છે. એટલે મેં વાત વાળી લેતા કહ્યું કાકા પ્રાણીઓ સહજ હોય છે, સેક્સ એમના માટે બેસિક નીડ અને બેસિક ઇન્સ્ટીન્કટ છે અને તે રીતે તેનો સહજ ઉપયોગ કરે છે. જ્યારે આપણે પ્રાણીઓ કરતા વધુ બુદ્ધિશાળી એટલે આપણે સેક્સને સહજ રહેવા દીધો નથી માટે આપણે સેક્સ એડ્યુકેશનની જરૂર પડે.

‘વધારે ડાહ્યા વધારે ખરડાય’, કમુબેન બોલ્યા.

શાંતિભાઈ હસી પડ્યા. હસતા હસતા ઉમેર્યું, ‘ પ્રાણીઓ કરતા આપણી પાસે કોર્ટેક્સ બહુ મોટું છે મતલબ વિચાર કરવાવાળું બ્રેન બહુ મોટું છે માટે આપણે સેક્સને સુસંસ્કૃત અને વિકૃત બંને બનાવી શકીએ છીએ, એટલે સંસ્કૃત બનાવવા અને વિકૃત નાં બને તે માટે સેક્સ એડ્યુકેશનની જરૂર પડે એવું મારું માનવું છે.’

મેં કહ્યું બધા આ વાત પર ઠોકો તાલી.

મંજુબેન જરા જુનવાણી વિચારો ધરાવતા તે બોલ્યા આ જાતીય શિક્ષણ આપવાથી પછી કામાચાર વધી નહિ જાય? લોકો લગ્ન કર્યા વગર પણ સેક્સ ભોગવવા લાગશે.

મેં કહ્યું આમેય કોણ બાકી રહે છે કામાચાર વગર? ચાલો આજ સુધી ભારતમાં જાતીય શિક્ષણ ક્યા અપાતું હતું છતાં ૧૨૫ કરોડનો દેશ અમસ્તો થોડો બની ગયો હશે? અને જે સાધુ મહાત્માઓ સેક્સને કાયમ વખોડતા હોય છે તે લોકો પણ ખાનગીમાં સેક્સ વગર રહેતા નથી. જે સાધુઓ સ્ત્રીઓના મુખ પણ જોતા નથી તેવા લોકો નાના છોકરાઓનો દુરુપયોગ કરે જ છે. ઉલટાનો આવા લોકો સેક્સનો વધુ ઉપયોગ અને તે પણ વિકૃત રૂપે કરે છે. એક ખોટી માન્યતા છે કે સેક્સ શિક્ષણ આપવાથી લોકો પછી ચોરે ને ચૌટે સેક્સ માણ્યા કરશે.

હવે વારો શાન્તીભાઈનો હતો. ‘ઘણા બુદ્ધુઓ માને છે કે સેક્સ એડ્યુકેશન એટલે નિરોધ વાપરવાનું કહેવું અને પહેરાવવાનું શીખખવું બસ આટલામાં જ બધું આવી ગયું. ઘણા મુરખો એવી દલીલ પણ કરે છે કે સેક્સ એડ્યુકેશન મેળવવા તમારા સંતાનોને કોઈ પારકી વ્યક્તિ પાસે મોકલવા રાજી છો? ભાઈ તમે ગુરુત્વાકર્ષણનો નિયમ સમજવા કે થિઅરી ઓફ રીલેટીવીટી શીખવા ન્યુટન કે આઇન્સ્ટાઇન પાસે ગયેલા ખરા? ગણિત, વિજ્ઞાન, ભૂગોળ બધું એક જ કલાસરૂમમાં ૫૦-૧૦૦ વિધાર્થીઓ સાથે બેસી ને જ શીખેલા કે નહિ? બધી વસ્તુઓ પ્રેક્ટીકલ શીખવી જરૂરી છે ખરી? મુલે સેક્સ ને પાપ ગણનારા જાતજાતની દલીલો કરશે. ઘણા બુદ્ધુઓ કહેશે સાચું સેક્સ શિક્ષણ દીકરીને માતા જ આપી શકે. તો દીકરાઓને કોણ આપશે? ચાલો પશ્ચિમનો સમાજ તો ઓપનનેસ ધરાવે છે ત્યાં માતા આપશે પણ ભારતની માતા કઈ રીતે આપશે? શરમ નહિ આવે? એના કરતા આનો નિષ્ણાંત શિક્ષક વર્ગ ખંડમાં આપે તે શું ખોટું? ઘણા બુદ્ધુઓને છાપાઓમાં પીરસાતા નગ્ન અર્ધનગ્ન ફોટાઓ, ગ્લેમરસ જાહેરાતો અને ડૉ મુકુલ ચોકસી કે ડૉ મૃગેશ વૈષ્ણવ કે ડૉ હંસલ ભચેચ જેવા નિષ્ણાંતો વડે પીરસાયેલા જ્ઞાન વચ્ચે કોઈ ફરક દેખાતો નથી. મારી તો બચપણની ઘણી બધી સેક્સ વિશેની ખોટી માન્યતાઓ અને ગીલ્ટ ફક્ત ડૉ મૃગેશ વૈષ્ણવનાં પુસ્તકો વાંચીને જ દૂર થઈ ગયા હતા, નાં તો મારે કોઈની જોડે પ્રેક્ટીકલ શીખવા જવું પડેલું કે નાં કોઈ ડોક્ટરની મુલાકાત લેવી પડેલી.’

મેં કહ્યું ઘણા મિત્રો એવી પણ દલીલ કરતા હોય છે કે આજ સુધી ક્યાં તમે સ્કૂલમાં જાતીય શિક્ષણ લેવા ગયેલા? ભાઈ પહેલા ભણવા જ કોણ જતું હતું તો હવે સ્કૂલ કૉલેજો બંધ કરી દઈશું? લાખો વર્ષ લગી ડોક્ટર્સ હતા જ નહિ લોકો એમ જ બીમાર પડતા ને મરતા પણ ખરા તો શું હવે તમામ ડોક્ટર્સ ને ગોળી મારી દઈશું?

કમુબેન બોલ્યા આ લોકો સેક્સ એડ્યુકેશનનો વિરોધ કેમ કરે છે તેનું મૂળ કારણ શું છે ખબર છે?

મેં કહ્યું નાં તમે કહો.

અરે ! આ મુર્ખાઓ એવું સમજે છે કે સેક્સ એડ્યુકેશન એટલે સેક્સ કરતા શીખવવું? એની જ આ બધી મોકાણ છે. અલ્યા સેક્સ કરતા કોઈને શીખવવું નાં પડે એ તો બધાને સમય થાય આવડી જ જાય. હહાહાહાહાહાહાહા.. સેક્સ એડ્યુકેશનમાં સેક્સ વિષે સાચી સમજ, એના અતિરેક અને એના આત્યંતિક વિરોધ બધાથી કઈ રીતે બચવું, એમાંથી કઈ રીતે શક્ય આનંદ મેળવવો, એની વિકૃતીઓથી બચવું આવું  બધું શીખવાનું હોય. એને કરતા શીખવાનું તો બધાને જન્મજાત આવડતું જ હોય, પ્રાણીઓ પણ વગર શીખે કરતા જ હોય છે.

મેં કહ્યું ખરેખર તો સેક્સ એડ્યુકેશન સેક્સ વિકૃતિઓ થી બચી શકવામાં બહુ કામ લાગે. ખોટી માન્યતાઓને લીધે થતા અપરાધબોધનું નિવારણ થાય અને તેના લીધે થતી માનસિક બીમારીઓ માટે પણ બહુ કામ લાગે. ઉલટાનું સેક્સ એડ્યુકેશન વડે સેક્સના અતિરેકથી પણ બચી શકાય.

શાંતિભાઈ બોલ્યા આપણા લોકોનો દંભ જુઓ એક મામી અને ભાણેજના સેક્સ સંબંધો માન્ય, એમના મંદિરો બનાવશે, એમની પૂજા કરશે પણ કોઈ કૉલેજના છોકરાએ બિચારાએ ભૂલ કરી હશે કોલેજની અગાસીમાં તો સજા કરશે.

અરે ! કાઈ સમજાય તેવું બોલો.

આખા ભારતમાં રાધાકૃષ્ણનાં મંદિરો છે કે નહિ? લોકો એમની પૂજા કરે છે કે નહિ?

હા કરે છે.

રાધા યશોદાના ભાઈની વહુ હતી, કૃષ્ણની મામી થઈ કે નહિ? બાલકૃષ્ણને પટાવનારી પીડોફેલીક થઈ કે નહિ? આ દેશમાં સ્ત્રીઓના મોઢા નાં જોનારા મહાન પુણ્યશાળી બાવાઓ નાના છોકરાઓના ગુદાદ્વાર એમની જાતીય વૃત્તિ સંતોષવા ફાડી નાખે તે ચાલે, આ દેશમાં અમે જ કૃષ્ણ છીએ અમને બધું અર્પણ કરો કહી ગુરુઓ ભક્તોની નાજુક કન્યાઓની યોનીઓ ચીરી નાખે તો ચાલે પણ સેક્સ એડ્યુકેશનની વાત કરો તો નાં ચાલે.

મેં કહ્યું બસ બસ શાંતિભાઈ વધુ કહેશો નહિ લોકો મારવા આવશે.. આ શાંતિભાઈ માર ખવડાવશે ચાલો  ભાગીએ અહીંથી કહી અમારી મંડળી છૂટી પડી..

જય પિતાજી….

જય પિતાજી1554534_10202350258650516_2907119415585977144_n

એક વૃક્ષ એના બીજને પવન દ્વારા માઇલો દૂર મોકલી આપે છે. એ ફળીભૂત થશે કે નહિ તેની એને ખબર નથી. એક નર માછલી અગણિત ઈંડા ઉપર પોતાના સ્પર્મ વહાવીને પાણીમાં તરતા આગળ વધી જાય છે. પછી આ ઈંડામાંથી બચ્ચા બહાર આવશે અને જીવશે કે નહિ એમાં તેમને કોઈ રસ હોતો નથી. કોઈ કોઈ જાતિમાં નરપક્ષી એના બચ્ચાને ખવડાવે છે,પણ ઊડવાનું શીખ્યા પછી બચ્ચાને ભૂલી જાય છે. સસ્તન પ્રાણીઓ એના નાના બચ્ચાને પ્રીડેટરથી બચાવે છે,પણ પોતાની જાતને પહેલો પ્રેફરન્સ આપે છે. સિંહ સિંહણે કરેલા શિકારને છીનવી લે છે,બચ્ચાનાં મુખમાંથી ખાવાનું છીનવી લે છે. વાનરો અને એપ્સ એમના બચ્ચા સાથે રમે છે,પણ કોઈ વાર એમને મારી નાખવાનો પ્રયત્ન પણ કરતા હોય છે. ફક્ત માનવ નર એના બાળકોના રસમાં રસ લે છે,એની સાથે રમે છે,પોતાના રસ એનામાં રેડે છે. આ એક બહુ મોટું વિશાળ ઇવલૂશનરી સ્ટેપ છે.

The act of fathering is the foundation of human civilization.

પિતૃત્વ ને માન આપવા, પિતા સાથેના માનસિક જોડાણને સરાહવા અને પિતાની સમાજ પર પડતી અસર કેટલી પ્રભાવશાળી છે તે જતાવવા ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. મોટાભાગના દેશોમાં જુન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે ઉજવાય છે. ફાધર્સ ડે પહેલા મધર્સ ડે ઉજવવાનું શરુ થઈ ચુક્યું હતું. એટલે ઘણાને તેમાં કશું ખૂટતું હોય તેવું લાગતું હતું. કારણ માનવસમાજના પાયામાં પિતા અને માતા બંનેનું સરખું પ્રદાન હોય છે એટલે મધર્સ ડે ઉજવાય અને ફાધર્સ ડે જેવો કોઈ કોન્સેપ્ટ જ નાં હોય તે ચાલે ખરું?

Anna Jarvis નામની એના માતાપિતાના તેર સંતાનોમાની દસમું સંતાન, એણે માતૃત્વનાં મહિમાને વધુ મહિમાવંત બનાવવા એની માતાનાં અવસાનના ત્રણ વર્ષ બાદ ૧૦ મેં. ૧૯૦૮ના દિવસથી મધર્સ ડે ઉજવવાનું અમેરિકામાં શરુ કરેલું. મધર્સ ડે સામે પિતાને પણ મહત્વ આપવું જોઈએ અને ફાધર્સ ડે જેવો કોઈ દિવસ ઉજવવો જોઈએ તેવું ઘણા બધાના મનમાં થતું હતું પણ ક્રેડીટ ગોઝ ટુ Sonora Smart Dodd ( Spokane, Washington). આ મહિલાના પિતા અમેરિકન સિવિલ વોર વેટરન હતા. એમની પત્નીના અવસાન બાદ એકલા હાથે છ સંતાનો એમણે ઉછેરેલા. Sonora ને એના પિતા પ્રત્યે ખુબ માન હતું એણે ૧૯ જુન ૧૯૧૦ના દિવસે પહેલીવાર ફાધર્સ ડે ઉજવી નાખ્યો. શરૂમાં એને ખાસ પ્રતિસાદ મળ્યો નહિ. પણ આમાં થોડા વેપારી જૂથો સામેલ થયા. કારણ એમને તો આમાં બિજનેસ દેખાતો હતો. તંબાકુ પીવાની પાઈપ, ટાઈ અને એવી બીજી વસ્તુઓ આ બહાને લોકો પિતાને ગીફ્ટ તરીકે આપે તો ધંધો વધવાનો જ હતો. શરૂમાં લોકો આનો વિરોધ કરતા અને સમાચાર પત્રો ફાધર્સ ડે ની મજાક ઉડાડતા અને મજાક ઉડાડતા જોક્સ મુકતા. પણ ધંધાદારીઓ એમ નિરાશ થાય તેવા નહોતા. ઉલટાના સમાચાર પત્રોએ મુકેલા જોક્સનો જ પ્રચાર તરીકે ઉપયોગ કરીને ફાધર્સ ડે ને વધારે પ્રચલિત બનાવી દીધો.

૧૯૧૬માં પ્રેસિડેન્ટ વુડ્રો વિલ્સન ફાધર્સ ડે ની ઉજવણીમાં બોલવા Spokane પધાર્યા અને એને ઓફિસિયલ બનાવી દેવા ઈચ્છા વ્યક્ત કરી. પણ એનું વ્યાપારીકરણ થઈ જશે એવો ભય વ્યક્ત કરી કોંગ્રેસે વિરોધ કર્યો. ૧૯૬૬માં પિતાશ્રીઓને સન્માનવા જુન મહિનાના ત્રીજા રવિવારને ફાધર્સ ડે તરીકે સત્તાવાર જાહેર કરનાર હતા પ્રમુખ Lyndon B. Johnson . એના છ વર્ષ પછી ૧૯૭૨માં પ્રમુખ નિક્સને સહી કરીને આ દિવસને પરમેનન્ટ નેશનલ હોલીડે તરીકે જાહેર કરી દીધો જો કે રવિવારે તો આમેય હોલીડે જ હોય છે.

 Randall Flanery, (a pediatric psychologist at Saint LouisBehavioral Medicine Institute) કહે છે પિતાની હાજરીનો કોઈ વિકલ્પ નથી. બાળકોને લકઝરી સુખ સગવડ અને વૈભવ કરતા પિતાની કંપની વધારે પ્યારી અને મહત્વની હોય છે. સંતાનોને બે વસ્તુ ઓછી આપશો તો ચાલશે,એના તે ભૂખ્યા નથી,પણ પિતાના સમયના ભૂખ્યા હોય છે. બાલ્યાવસ્થા અને પૂખ્તઅવસ્થા વચ્ચેનો ગાળો બાળકો માટે બહુ સંવેદનશીલ હોય છે. આ અવસ્થામાં આવેલા બાળકોને આપણે હવે ટીનેજર કહીએ છીએ. અહી છોકરા સાથે પિતાનું લાગણીભર્યું વર્તન એને નિરાશામાંથી બચાવે છે. આ અવસ્થા સમયે મોટાભાગે બાળકો કંટ્રોલ ગુમાવી બેસતા હોય છે દ્વિધામાં સપડાયેલા હોય છે. એમને શું કરવું સમજ હોતી નથી. નિરંકુશ બની જતા હોય છે.

છોકરીઓ વળી પુખ્ત બનવા સમયે કે પ્રજનન સક્ષમ બનવા સમયે વળી બમણી ડીપ્રેશનમાં હોય છે. ત્યારે પિતાની હાજરી એને બચાવી લેતી હોય છે. અહી પિતાનું મહત્વ વળી ખૂબ વધી જતું હોય છે. એના પાર્ટનર તરીકે પુરુષની પસંદગી વખતે તે પિતાને નજર સમક્ષ રાખતી હોય છે. પણ પિતા વગર ઉછરી હોય તો કોને નજર સમક્ષ રાખે? ભવિષ્યમાં એના પતિ સાથેના સંબંધો માટે પિતા સાથેના સંબંધો આયનો બની જતા હોય છે. ટીનેજર દીકરીઓને પિતાશ્રીઓએ ખૂબ પ્રેમભાવ અને સમય આપવો જોઈએ.

જે છોકરી બાયોલોજીકલ પિતાનાં સાંનિધ્ય વગરની હોય છે તે જલદી પુખ્ત બની જતી હોય છે. પીરિયડમાં યોગ્ય સમય કરતા વહેલી આવતી થઈ જતી હોય છે અને  પ્રૅગ્નન્ટ પણ વહેલી બની જતી હોય છે. જોકે ભારતમાં સામાજિક નિયંત્રણને લીધે પ્રૅગ્નન્ટ બનવું સંભવ ના બને. પણ સેક્સ તરફ જલદી વળી જતી હોય છે. માતા પિતા વચ્ચેના ઝગડા,અથડામણ,સંઘર્ષ, ડિવોર્સ અને અલગ અલગ રહેવું આ બધાને લીધે જે માનસિક તણાવ પેદા થાય છે તે ટીનેજર છોકરીઓને વહેલા પુખ્ત બનાવી દે છે.  Menarche એટલે માસિકચક્ર શરુ થયાનો પ્રથમ દિવસ એના શરીરને Bio-signals તરીકે કહેતો હોય છે કે “This is an unstable environment,” or ” There is a shortage of males in the population .”   આવા સમયે ઇવલૂશનરી બ્રેઈન વિચારતું હોય કે સર્વાઈવલ માટે પરિસ્થિતિ અનુકૂળ છે નહિ. તો જાતીય રીતે પુખ્ત બનવા માટે ઝડપ કરો અને મૃત્યુ પહેલા સાથી શોધી લો અને મોડું થાય તે પહેલા પોતાના જિન્સ નવી પેઢીમાં પાસ કરી દો.

માતા ફરી લગ્ન કરે કે લીવ ઇન રિલેશનશિપ વડે બીજા પુરુષ સાથે રહેતી હોય ત્યારે છોકરીનું બ્રેઈન જીનેટીકલી સંબંધ ના હોય,લોહીનો સંબંધ ના હોય તેવા અજાણ્યા પુરુષની હાજરીની ભાળ લેતું હોય છે. સ્ટેપ ફાધરની હાજરી પણ બાયો સિગ્નલ્સ જણાવી દેતા હોય છે કે લોહીનો સંબંધ છે નહિ ત્યાં ઉલટાની છોકરી વહેલી પુખ્ત બનીને વહેલું ઋતુ ચક્ર શરુ થઈ જતું હોય છે. The presence of an unrelated male should signal a reproductive opportunity, and thus accelerate menarche ( Barkow, 1986). આવા અનરીલેટેડ પુરુષનું  આસપાસ રહેવું સેકસુઅલ સજ્જતા,શીઘ્રતા,તૈયારી અને સાબદાઈમાં પરિણમતું હોય છે. ઘરમાં સ્ટેપ ફાધર કે લોહીના સંબંધ વગરના પુરુષનું સાહચર્ય જેટલું વધારે તેટલી એની ઇફેક્ટ વધુ. સાયકોલોજીસ્ટ Bruce Ellis નું ગ્રાઉન્ડ બ્રેકીંગ સંશોધન પણ આમ કહે છે. તે એવું પણ જણાવે છે કે જેટલી બાયોલોજીકલ પિતાની હાજરી ઘરમાં વધારે અને દીકરી સાથેના તેમના સંબંધો વધુ પ્રેમાળ અને લાગણીભર્યા હોય તેટલો છોકરીનો પુખ્ત બનાવાનો સમય વધુ અથવા નોર્મલ હોય છે.

આમ બાયોલોજીકલ પિતાની ગેરહાજરી છોકરીને વહેલી જાતીય પુખ્ત બનાવી દે તે નુકશાનકારક બની શકે છે. કારણ માનસિક રીતે છોકરી પુખ્ત બની હોય નહિ અને માનસિક પુખ્તતા સલામત Sexuality માટે જરૂરી હોય છે. વળી ઘરમાં બાયોલોજીકલ નાં હોય તેવા પિતા કે પુરુષની હાજરી પણ છોકરીને વહેલા જાતીય પુખ્ત બનાવી દેવા કારણભૂત બનતી હોય છે. અને પરિણામે સતત અને સહેલાઈથી મળતું આવું સાંનિધ્ય જાતીય સંબંધોમાં પરિણમતું હોય છે. માતા બાજુ પર રહી જતી હોય છે અને યુવાન છોકરી સાથે સ્ટેપ ફાધર કે કહેવાતો માતાનો બોય ફ્રેન્ડ જાતીય સંબંધ બાંધી લેતો હોય છે. વાતે વાતે ડિવોર્સ લેતા અને વારંવાર પાર્ટનર બદલતા પશ્ચિમના સમાજનું આ બહુ મોટું કલંક છે.

  સીંગમંડ ફ્રોઈડ અને કાર્લ જુંગ કહે છે કે પિતા એક દીકરા માટે એની ઓળખના વિકાસનું (Development of identity) ખુબ મહત્વનું પરિબળ છે. એક નાના પુત્ર માટે પિતા એક idol છે. ડેડી બધું જ કરી શકે છે. પરમપિતા પરમાત્મા છે. પિતાની ચાલ ઢાલ,ઉઠવું બેસવું બધાની નકલ કરશે. પિતાની સામાજિક સ્વીકૃતિ જોઈએ છે. કિશોરાવસ્થામાં થોડો પ્રોબ્લેમ પિતાની દલીલો ગમતી નથી. એમનું ગાઇડન્સ વધારે પડતું લાગે છે. પણ યુવાન થતા આ સબંધો એક વિકાસના તબક્કામાં આવે છે. એક બીજાને  ઇગ્નોર કરે છે. પણ માનસિક રીતે જોડાતાં જાય છે. ત્રીસી ને ચાલીસીના વચ્ચે સમજ આવે છે કે પિતાએ ઘણું કર્યું છે. ઘણા બલિદાનો આપ્યા છે. અને પિતા અને પુત્ર વચ્ચે મિત્રતાના સબંધો બની જાય છે. બસ પછીના વર્ષોમાં વૃદ્ધ પિતાની સેવા કરવાનું મન ના થાય તો સમજવું કે આ વિકાસના બધા તબક્કાઓમાં ક્યાંક ચૂક થઇ ગઈ છે.

એક દીકરી માટે  પિતા સાથેના સબંધો એ એના જન્મ પછીના સૌ પ્રથમ સ્ત્રી અને પુરુષ વચ્ચેના સબંધો છે. એક નાની બાળકી પોતાના પિતા તરફ થી મળતા  પ્રેમ ભાવના પ્રતિબિંબો વડે પોતાના સ્ત્રૈણ તત્વની ઓળખ પ્રાપ્ત કરે છે. એ એકલી નથી,કોઈ એને સમજી રહ્યું છે,ગણી રહ્યું છે,એક સેન્સ ઓફ સિક્યુરીટીની સમજ આવે છે. પિતા વગરની દીકરી કે પિતાના પ્રેમ વગરની દીકરી half done છે. એ હમેશા ખોટી જગ્યાએ પ્રેમની શોધ કરે છે. પિતાનું હાસ્ય એના વિકાસનું સાધન છે. પિતાની શિસ્ત એનું માર્ગદર્શન છે. પિતા વગરની દીકરી એકલી અટૂલી છે. તો દીકરી વગરનો પિતા પણ અધુરો છે તેવું મારું પર્સનલ મંતવ્ય છે.

માતાને દીકરો વધુ વહાલો હોય છે જ્યારે પિતાને દીકરી વધુ વહાલી હોય છે.

૨૦૧૪ના ફાધર્સ ડે માટે આટલું પુરતું છે ને?

અંધશ્રદ્ધામાં શ્રદ્ધા

અંધશ્રદ્ધામાં શ્રદ્ધાimagesLHLH9QCB

સાંયા જુલા કરીને એક મહાન ભક્ત હતા. એજ યૂઝુઅલ ભક્તો મહાન જ હોય છે. ઈડર મહારાજના દરબારમાં એમનાં બેસણાં હતા. કયા મહારાજા હતા એમનું નામ ખબર નથી.. સાંયા જુલા કવિ પણ હતા એટલે જ કદાચ રાજદરબારમાં બેસતા હશે. આ મહાન ભક્ત દ્વારકાધીશના પરમ ભક્ત હતા. દ્વારિકામાં આરતી થાય એટલે ત્યાં હાજરી આપવાનો એમનો અચૂક નિયમ હતો. સાંયા જુલા રહેતા હતા ઈડર પણ રોજ સાંજની આરતી સમયે ૪૪૯.૨૫ કી.મી. અથવા ૨૪૨.૫૮ Nautical માઈલ્સ અથવા ૨૭૯.૧૫ માઈલ્સ દૂર સ્થિત દ્વારિકામાં હાજર રહેવાનો વિશ્વવિક્રમ ધરાવતા હતા. જો કે આજે આ વાત શક્ય છે ઈડરથી અમદાવાદ કારમાં જઈ પ્લેનમાં દ્વારિકા જઈને આરતીમાં હાજરી આપી પાછા ઈડર આવી શકાય. એજ યૂઝુઅલ ભગવાન ભક્તને કશું આપવા ઈચ્છે પણ મહાન ભક્તો સવિનય નાં પાડતા હોય છે. આ ભગવાનની મેન્ટાલિટી ની મને ખબર નથી પડતી, એક બાજુ એના દર્શન કરવા જનારા લોકોના ડીઝાસ્ટરમાં પ્રાણ હરી લે અને સાંયા જુલા જેવા ભક્તોને નાં પાડવા છતાં સાંઢણી પર પુરસ્કાર મોકલતા હોય છે.

એકવાર દરબાર ભરાયેલો છે અને ભક્તરાજ અચાનક હાથ પછાડતા હોય તેમ કરવા લાગ્યા. થોડીવાર પછી બધું રાબેતામુજબ થઈ ગયું. મહારાજાએ પૂછ્યું આપ શું કરતા હતા? એજ યૂઝુઅલ ભક્તે વાત ટાળવાની કોશિશ કરી. પણ રાજા માને? થયેલું એવું કે તે સમયે દ્વારિકામાં ભગવાનના વાઘા બદલવા પુજારી કશું કરતા હશે તે સમયે ભગવાન પાસે મુકેલા દીવા ને લીધે સમથીંગ આગ જેવું લાગેલું ભગવાન દાઝે નહિ માટે ભક્તે અહી ઈડરમાં બેઠા બેઠા હાથ પછાડી આગ હોલવી નાખી. આ ભગવાન કેટલો અસહાય છે નહિ? નથી કપડા જાતે પહેરી શકતો નથી તેની નજીક આગ લાગે તો હોલવી પણ શકતો નથી. હવે ભક્ત જુઠું બોલે તેવો અવિશ્વાસ તો કરાય નહિ. છતાં મનમાં અવિશ્વાસ તો છે જ એટલે મહારાજા કોઈ માણસ દ્વારિકા મોકલી તપાસ કરાવે છે. સી.બી.આઈ નો રીપોર્ટ આવે છે કે વાત સાચી છે તે સમયે દ્વારિકામાં ભગવાન આગળ નાનકડી આગ લાગેલી અને પુજારીએ કહ્યું કે સાંયાજી અહી ઉભા હતા તેઓએ આગ હોલવી નાખેલી. સિક્રેટ સર્વિસ એજન્ટે કહ્યું પણ સાંયાજી તો ઈડરમાં રહે છે અહી કઈ રીતે આવે? પૂજારીએ કહ્યું આ ભક્ત તો રોજ સાંજે અહી આવે છે આરતી ટાણે. સિક્રેટ સર્વિસ એજન્ટ એમ કાઈ કાચું મુકે ખરો? થોડા દિવસ ત્યાં રહીને ખાતરી કરી લીધી ભક્તરાજ રોજ ત્યાં આરતી સમયે હાજરી આપતા હતા.

ચાલો બીજી આવી એક વાર્તા જોઈએ. વડોદરા પાસેના છાણી ગામના સ્વ.મનસુખ માસ્તર ડાકોરના રણછોડરાયના ખાસ ભગત. દર પૂનમે ડાકોર જવાનું. શાળામાં દર પૂનમે રવિવાર હોય નહિ તો પણ ડાકોર જવાનું એટલે જવાનું. માસ્તર સ્વભાવે બહુ સારા હતા, વિદ્યાર્થીઓમાં પ્રિય હતા. એમના વિરોધીઓએ એમને નીચા પાડવાના કાવતરા કર્યા કરતા.  શિક્ષણ અધિકારીઓને ચેકિંગ માટે બોલાવતા પણ માસ્તરની સારી વર્તણૂક અને લોકપ્રિયતા જોઈ અધિકારીઓ દર વખતે એમનો બેપાંચ રૂપિયા પગાર વધારીને જતા રહેતા. છેવટે એક પૂનમે માસ્તર શાળા ચાલુ હતી છતાં ડાકોર પહોચી ગયા, અને અગાઉ ઘડી કાઢેલી  યોજના એમના દુશ્મનોએ શિક્ષણ અધિકારીને ચેકિંગ કરવા બોલાવી લીધેલાં.

આ બાજુ માસ્તર તો ડાકોરમાં હતા. એમને આજે રણછોડરાયની મૂર્તિમાં તેજ દેખાયું નહિ. બીજી બાજુ રણછોડરાયને ચિંતા થઈ કે મારા ભગતની નોકરી આજે જવાની, તો માસ્તરનું રૂપ લઈને શાળામાં આવી ગયા. અહીં શિક્ષણ અધિકારીઓ સાથે વાતો કરી. વિરોધીઓ નવાઈ પામ્યા કે માસ્તર તો ડાકોર હતા અને અહીં કઈ રીતે હાજર? અધિકારીઓ પાંચ રૂપિયા પગાર વધારી સ્ટેશને જવા રવાના થયા. અહીં સ્ટેશને મૂળ મનસુખ માસ્તર ટ્રેનમાંથી નીચે ઊતર્યા, સામે ટ્રેનમાં બેસવા આવેલા શિક્ષણ અધિકારીને જોઇને પગે પડી ગયા કે માફ કરો. અહીં બધાને નવાઈ લાગી કે માસ્તર તો શાળામાં હતા, અહીં ટ્રેઇનમાંથી આ કોણ ઊતર્યું? માસ્તર બોલી ઊઠ્યા કે હવે સમજ્યો કે આજે મૂર્તિમાં તેજ કેમ નહોતું દેખાતું? એનું કારણ એ હતું કે રણછોડરાય માસ્તર બનીને અહીં શાળામાં આવી ગયેલા. છાણી ગામમાં સ્વ. મનસુખ માસ્તરનું સ્મારક આજે ઊભું છે.

આ ભગવાન મારા કે તમારા રૂપ લઇ શકે પણ મહમદ ગઝની સોમનાથ કે બાબર ને રામ મંદિર તોડતા રોકી શકતો નથી. એના અક્ષરધામ પર હુમલા થાય ત્યારે સુઝાનસિંઘ જેવાને શહીદ થઈ જવું પડે છે. આપણે સમજીએ છીએ કે ઈશ્વર, ભગવાન, ગુરુ અને ધાર્મિક ગ્રંથો જેવા કહેવાતા ઊંચા તત્વોમાં અફર વિશ્વાસ રાખવો તે શ્રદ્ધા, અને ભૂત-પ્રેત, ડાકણ, ચુડેલ, જાદુટોનામાં વિશ્વાસ રાખવો તે અંધશ્રદ્ધા. ભગવાનને શીરો ધરાવો કે ભૂતને બાકળા મનોદશા બંનેની સરખી જ છે. એક નાળીયેર વધેરે અને એક બકરું વધેરે, વધેરવાનું કામ બંને કરે છે, બંનેના બ્રેનની સર્કીટ સરખી જ છે. પણ એક કહેવાય શ્રદ્ધા અને બીજું કહેવાય અંધશ્રદ્ધા. આપણે આદિવાસીઓ અને પછાત વર્ગના, ગરીબ વર્ગના લોકોની શ્રદ્ધાને અંધશ્રદ્ધા ગણાતા હોઈએ છીએ. ઊંચા અને ઊજળા પૈસાદાર શિક્ષિત વર્ગના લોકોની અંધશ્રદ્ધાને શ્રદ્ધા ગણાતા હોઈએ છીએ. કોઈ ગરીબનું કામ એના માનેલા માતાજી કરે તો અંધશ્રદ્ધા અને મનસુખ માસ્તરનું કામ રણછોડ કરી જાય તો શ્રદ્ધા. શ્રદ્ધાની વિરુદ્ધનો શબ્દ છે અશ્રદ્ધા, અંધશ્રદ્ધા નહિ. અંધશ્રદ્ધામાં જ શ્રદ્ધા સમાઈ જાય છે.

શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શી જરૂર છે તેવી ચવાઈ ગયેલી કોમેન્ટ્સ અહી કોઈએ કરવી નહિ.

પ્રકૃતિમાતા દસ મહાદેવીઓ રૂપે

 પ્રકૃતિમાતા દસ મહાદેવીઓ રૂપે.

આજે માતૃદિન મધર્સ ડે છે. ભારતમાં મધર્સ ડે ઉજવવાનો ખાસ રીવાજ નથી. હવે પશ્ચિમની દેખાદેખી ઉજવવા લાગ્યા હોઈએ તો બરોબર છે. અમેરિકામાં ક્રિસમસ પછી સૌથી વધુuntitled-0=9 ઉજવાતો દિવસ મધર્સ ડે છે. મતલબ આપણે ભલે જે માનતા હોઈએ પણ પશ્ચિમના લોકોમાં પણ માતાનું મહત્વ છે. માતા, માતૃત્વ, માતા સાથેનું સામાજિક જોડાણ, અને માતાની સમાજ ઉપર પડતી અસરો વગેરેનું બહુમાન કરવા માટે મધર્સ ડે ઉજવાય છે. અમેરિકનો મધર્સ ડે નિમિત્તે ૨.૬ બિલ્યન ડોલર્સ ફૂલો પાછળ, ૧.૫૩ બિલ્યન ડોલર્સ ગિફ્ટ પાછળ અને ૬૮ મિલયન ડોલર્સ ગ્રેટીંગ કાર્ડ્સ પાછળ વાપરે છે. મધર્સ ડે દિવસે અહી સૌથી મોટો તડાકો રેસ્ટોરન્ટ અને ઝવેરાતની દુકાનોમાં પડતો હોય છે. આ દિવસે રેસ્ટોરન્ટમાં જગ્યા મળવી મુશ્કેલ. હવે આ ઉપર લખ્યા તે ડોલર્સ ને રૂપિયામાં કન્વર્ટ કરો પછી જુઓ અમેરિકનો માતૃદિન પાછળ કેટલા બધા રૂપિયા વાપરે છે?

કુદરતને પણ આપણે માતા જ કહીએ છીએ. મધર નેચર કહીએ છીએ, ફાધર નેચર નથી કહેતા. એક બાળકના સર્જન પાછળ માતાનો રોલ બહુ મોટો અને મહત્વનો છે. આમ જોઈએ તો કુદરત પણ એક મોટા પાયા ઉપર માતા જ છે, એને મહામાતા પણ કહી શકીએ. આફ્રિકાની બોશોન્ગો જાતિમાં યુનિવર્સની ઉત્પત્તિ વિષે એક વાર્તા છે. શરૂઆતમાં ખાલી ગહન અંધકાર, પાણી અને મહાન ભગવાન બમ્બા(BUMBA)જ હતાં. બમ્બાનાં પેટમાં દુખાવો થયો. એમણે ઊલટી કરી. ઊલટીમાં પ્રથમ નીકળ્યો સૂર્ય, એણે થોડું પાણી સૂકવીને રહેવાય તેવી જમીન ખાલી કરી આપી. હજુ દુખાવો ચાલુ હતો. ફરી વોમિટ કરતા ચંદ્ર પેટમાંથી બહાર નીકળ્યો, પછી થોડા પ્રાણીઓ જેવાકે દીપડા, મગર, કાચબા અને ફાઈનલી માણસ બહાર નીકળ્યા. મુલે માણસ આફ્રિકાથી આખી દુનિયામાં ફેલાયો છે તે હકીકત છે અને જ્યાં જાય ત્યાં પોતાની સ્મૃતિઓ જોડે લઈને જ જતો હોય તે સ્વાભાવિક છે. માટે મને થયું અ એમનો બમ્બા આપણો બ્રહ્મા કે અંબા તો નહિ હોય? બમ્બા જોડે અંબાનો અને બ્રહ્મા નો પ્રાસ પણ કેવો સરસ મળે છે? શરૂમાં બધા સમાજો માતૃપ્રધાન હતા. આમ અંબાનું સ્થાન બ્રહ્માએ પચાવી પાડ્યું હોય તેમ પણ બને.

ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ આપણે સ્ટોરી ટેલીંગ ચિમ્પ છીએ. વાર્તાઓ કહેવી અને એ રીતે ઘટનાઓ ને વિવિધતામાં ઢાળવી અને આગળની પેઢીને આમ શિક્ષણ આપવું તે માનવજાતનો એક મહત્વનો ગુણ છે. બચપણમાં અમને રોજ રાત્રે અમારા માતુશ્રી એક વાર્તા કહેતા. રાજા-રાણીની વાર્તાઓ, રાજાનો જીવ પોપટમાં હોય ને પોપટ મરી જાય તો રાજા પણ મરી જાય ને આવી જાતજાતની વાર્તાઓ કહેતા. વાર્તાઓ કહેવી હોય એટલે પાત્રો પણ ઉભા કરવા પડે. વાર્તાઓ કહીને કોઈ વિચાર કે વિચારધારા કે તત્વજ્ઞાનનું શિક્ષણ આપવું હોય ત્યારે એમાં જાતજાતના પાત્રો ઉમેરવા પડે પ્રતીકો ઉભા કરવા પડે, એનું નામ તો ક્રિયેટીવીટી કહેવાય ને? માતૃપ્રધાન બુદ્ધિશાળી સમાજે ભાષાનું બહુ વૈવિધ્ય નહિ હોય કે ભાષા વૈભવ હજુ ઉત્ક્રાંતિ પામ્યો નાં હોય માટે સરસ મજાના પ્રતીકો રચીને એમનું જ્ઞાન આગળ ધપાવવા ટ્રાય કર્યો હોય. આપણા પુરાણો એમાં જ સર્જાયા હોવા જોઈએ. ગ્રીક માયથોલોજી જુઓ એમાં પણ આપણા પુરાણો જેવા પાત્રો છે. મહાન મનોવૈજ્ઞાનિક ફ્રોઈડે એ પાત્રોનો બાખૂબી ઉપયોગ કરેલો છે. અને એ પાત્રો ઉપરથી તેણે આજની મનોવૈજ્ઞાનિક ગ્રંથીઓ, કોમ્પ્લેક્સ, બીમારીઓ કે સ્થિતિઓને નામ પણ આપેલા છે. નાર્સીસ્ટ એનું ઉત્તમ ઉદાહરણ છે.

આમ માતૃપ્રધાન પ્રાચીન ભારતીય સમાજોએ કુદરતને જ એક મહાન માતા સમજી એના વિવિધરૂપ વર્ણવતા પ્રતીકો રચેલા છે જેને ભારતીય વિચારધારામાં દસ મહાદેવીઓ કહી છે. મોટાભાગે લોકો અંબા, દુર્ગા, મહાકાલી, ભવાની જેવી અમુક માતાઓને જ જાણતા હોય છે. નવી નવી માતાઓ પેદા કરતા હોઈએ છીએ. આપણે પ્રતીકો પકડીને બેસી જઈએ છીએ. રોડ રસ્તા ખૂણે ખાંચરે બધે પ્રતીકો સ્થાપીને ભજનિયા ગાવા બેસી જઈએ છીએ. એ પ્રાચીન સમયમાં ગણિતના ભારેખમ સમીકરણો હતા નહિ. આર્યભટ્ટ અને વરાહમિહિર બહુ પાછળથી થયા. માતૃપ્રધાન સમાજોએ સુંદર અને ભયાનક વાસ્તવિકતા દર્શાવતા પ્રતીકો રચ્યા હતા. દસ મહાદેવીઓ કઈ છે તે આજે કહું અને ઘણાને એમના નામ પણ નવા લાગશે. દસે મહાદેવીઓ પાર્વતીના રૂપ છે તે યાદ્ક રાખજો. માતા એક છે મધર નેચર એક જ છે પણ એના રૂપ વિવિધ છે. આ દસ મહાદેવીઓ છે,

૧)કાલી–અનંત રાત્રી ૨)તારા-દયાની દેવી ૩)ષોડશી-૧૬ વર્ષની સુંદર માતા ૪)ભુવનેશ્વરી-જગત રચયિતા ૫)છિન્નમસ્તા(છિન્નમસ્તીકા)-પોતાનું મસ્તક ઉતારનાર ૬)ભૈરવી-રીસાયકલ ૭)ધુમાવતી-વિધવા ૮)બગલામુખી-મૌનનું મહત્વ ૯)માતંગી-નિમ્ન વર્ગ અને વસ્તુમાં પણ બ્રહ્મ છે. ૧૦)કમલા-પાલનહાર.

૧) કાલી એ અનંત રાત્રી છે. રાત્રી ના હોય તો??  પશુ, પક્ષી, જીવ જંતુ અને માનવ બધા રાત્રે પોતાના માળામાં પાછાં ફરી તરોતાજા  થઈ સવારે સર્વાઈવલનાં યુધ્ધે ચડવા તૈયાર. રાત્રી સુખદાયી છે, ફળદાયી છે.  રાત્રે શરીરના ઘસાયેલા કોષ નવું સ્વરૂપ ધારણ કરે છે. અંધકાર શાશ્વત છે, પ્રકાશ નહિ.

૨) તારા દયાળુ છે. શિવજીએ ઝેર પીધું તો પોતાનું દૂધ પિવડાવી બચાવી લીધા એવી વાર્તા છે. ભગવાનને પણ માતૃશક્તિ જોઈએ. બાળક જન્મે ત્યારે માતાનું પહેલું કામ એને દૂધ પીવડાવી ઊર્જા આપવાનું હોય છે. પ્રાચીન સમાજો થી માંડીને હમણા મારી પેઢી સુધી બાળકને ચારપાંચ વર્ષ સુધી ધવડાવતા. માનું દૂધ ખાલી દૂધ નથી હોતું એમાં કુદરતી એન્ટાયબાયોટીક્સ પણ હોય છે. બાળક હજુ હમણા જન્મ્યું છે એના શરીરમાં હજુ ઈમ્યુન સિસ્ટમ વિકસતા થોડી વાર લાગશે. રોગપ્રતિકારક શક્તિ વિકસતા થોડીવાર લાગશે. માટે ઝેરી જીવાણું સામે લડવા તારા માતૃશક્તિ દૂધ પીવડાવી વહારે ધાશે.

૩) ષોડશી ૧૬ વર્ષની સુંદર માતા છે.  સોળ વર્ષે સ્ત્રી સંપૂર્ણ સુંદર હોય. અમાસથી સોળ દીવસે ચન્દ્ર્મા પૂર્ણ રૂપ ધારણ કરે છે. The age of consent કેનેડામાં ૧૬ વર્ષ છે, અમેરિકામાં જુદા જુદા રાજ્યોમાં ૧૬ થી ૧૮ વર્ષ વચ્ચે નક્કી કરેલી છે, ભારતમાં ૨૦૧૨ સુધી ૧૬ વર્ષ હતી હવે ૧૮ વર્ષ છે. ષોડશી ત્રણે ભૂવનમા સૌથી સુંદર ત્રિપુરા સુંદરી છે. ષોડશીની ક્રુપા અને શક્તિ વડે સુર્યે ત્રણ ભુવન રચ્યા. દુનિયાની રચના કરી એ બની ભુવનેશ્વરી.

૪) ત્રણ ભુવન રચનારી ભુવનેશ્વરીનું સ્થાન પુરુષપ્રધાન સમાજ આવતા બ્રહ્માએ પડાવી લીધું ને ભુવન રચયિતા તરીકે જાણીતા થઈ ગયા. ભુવનેશ્વરી જગતની સુંદરતમ માતા છે.

૫) માતા પાર્વતી એકવાર સ્નાન કરવા જતા હોય છે. એમની બે દાસીઓ જયા અને વિજયા ભૂખી થાય છે. માતા પોતાનું જ મસ્તક ઉતારી ને હાથમાં લઈ લે છે. ધડમાંથી ત્રણ ધારા લોહીની થાય છે. એક જયાના, બીજી વિજયના અને ત્રીજી માતાના પોતાના હાથમાં પકડી રાખેલા મુખમાં પડે છે. આ થઈ માતા છિન્નમસ્તા(છિન્નમસ્તીકા). કમળ ઉપર એક યુવાન સ્ત્રી અને પુરુષની જોડી મૈથુનમાં રત છે, એની ઉપર માતા છિન્નમસ્તા બેઠી છે. કામ(સેક્સ) ઊર્જા છે. કામ શક્તિ છે. નવજીવન અને નવસર્જન, એકનું મ્રુત્યુ બીજાનું જીવન છે. એકની ખતમ થઈ રહેલી જીવન  ઊર્જા બીજાનું જીવન બની શકે છે. છિન્નમસ્તાનું પ્રતીક ભયાનક છે, પણ ખૂબ સમજ માગી લે તેવું છે. છિન્નમસ્તા વાસ્તવીકતાની મૂર્તિ છે.કામ(સેક્સ), મૃત્યુ, સર્જન, વિસર્જન, નવસર્જનનુ પ્રતીક છિન્નમસ્તા છે.imagesFDNYF7S6

૬) માતા કાલીનું વિધ્વંસાત્મક રૂપ ભૈરવી, નકરાત્મક લાગણીઓનું પ્રતીક છે. ક્રોધ, ઈર્ષ્યા, નપુંસકતા, સ્વાર્થ બધે ભૈરવી હાજર છે. સર્જન અને વિસર્જન બન્ને એકબીજા પર આધારિત છે. ભૈરવી સર્વવ્યાપી છે. પ્રલયની દેવી ભૈરવી મૃત્યુ તરફ ધસી રહેલા જીવનમાં સદા હાજર છે.

૭) ધુમાવતી કદ્રૂપી, ક્રોધન્વિત, અસ્વચ્છ, ગંદા વસ્રોમાં સજ્જ છે. શીવ પત્ની સતી એક્વાર ખૂબ ભુખ્યા થયા. શીવ પાસે ભોજન માગ્યું. શીવે ઇન્કાર કર્યો તો સતી પોતે પતીને જ ગળી ગયા ને જાતેજ વિધવા બન્યા. સદાય તરસ્યા અને ભુખ્યા ધુમાવતી કદી ત્રુપ્ત ના થતી ઇચ્છાઓનું પ્રતીક છે.

૮) વાક્સિદ્ધિ મેળવેલ દાનવની જીભને પકડી રાખનાર બગલામુખી જે સ્વાદ અને બોલવાની શકિત ધરાવનાર જીભ પર કાબૂ રાખવાનું પ્રતીક માત્ર છે.

૯) ચાંડાલની પુત્રી રુપે ભગવાન શિવ સાથે પ્રેમમાં ઊતરનાર પાર્વતીને નામ મળ્યું ઉચ્છિષ્ઠા માતંગી. દેવીએ વધેલો એંઠો ઉચ્છીષ્ઠ ખોરાક ગ્રહણ કરેલો. કોઈનું એઠું કોઈનો ખોરાક બને છે. પછાત કોમો રોજ સાંજે માંગી ને ખાતી હતી. ચાંડાલ એટલે સાવ છેવાડાની જાતી. દેવી એના પુત્રી બન્યા, એવું રૂપ ધારણ કર્યું. પરમેશ્વરી માટે કોઈ નીચું નથી, કોઈ ઉન્ચુ નથી. કોઈ શૂદ્ર નથી, કોઈ બ્રાહ્મણ નથી. કોઈ જાતી જ નથી. ખાલી બધા માનવો છે. પરમેશ્વરી માટે એક જંતુ અને માનવ પણ સરખાં મહત્વના છે.

૧૦) કમલા એ લક્ષ્મીનું રૂપ છે. વૈભવ, ફળદ્રુપતા અને ભાગ્યની આ દેવી સૌથી વધારે પ્રચલિત છે. પણ પાછળથી આ દેવીને વિષ્ણુની પત્ની બનાવી દીધી લાગે છે. સર્વાઈવલ થવા માટે આ દુનિયામાં ધન-વૈભવની બહુ મોટી જરૂર પડતી હોય છે. નવું વર્ષ એટલે દિવાળી લક્ષ્મીનો તહેવાર છે, કમલાનો તહેવાર. પણ આપણે શું કર્યું? પ્રદૂષણનો તહેવાર બનાવી બેઠાં છીએ. દરેક દેવી પાસેથી લગભગ સર્જન, પાલન અને વિસર્જનનો સંદેશ મળે છે. મોટાભાગની દેવી પુરુષ પર વિરાજમાન છે. અમુક દેવીઓ મૈથુન મગ્ન જોડી ઉપર વિરાજમાન છે.

આ બધા પ્રકૃતિમાતાના વિવિધ રૂપ છે, વિવિધ સ્વભાવ છે. પ્રકૃતિ ક્યારેક દયાળુ લાગે છે અને ક્યારેક ડીઝાસ્ટર આવે ત્યારે ક્રૂર લાગે છે પણ પ્રકૃતિ નાં તો દયાળુ છે નાં તો ક્રૂર, એ એનું કામ કરે જાય છે. આ સુંદર પ્રતીકોને સમજવાના છે. એમની પાછળ અંધ બની એમને પકડી રાખી એમાં રચ્યાપચ્યા રહેવાની જરૂર નથી. મહાકાલીનાં ભક્ત ઠગોએ ભારતમાં એક સમયે આતંક ફેલાવી દીધેલો. પીળા રૂમાલની રેશમી ગાંઠે અસંખ્ય લોકોના પ્રાણ  હરી લીધા. તમામ હત્યાઓ મહાકાલીને અર્પણ ગણાતી. અંગ્રેજોના ધ્યાનમાં આવતા આ હજારો સીરીયલ કીલર્સને સામટાં લટકાવી દીધા હતાં. એના માટે સ્થાપેલી સ્પેશિયલ બ્રાંચ હજુયે ભારતમાં સી,આઈ.ડી ક્રાઇમ બ્રાંચ તરીકે ઓળખાય છે.  આ બધી ચિત્ર ભાષા છે. યુગે યુગે ભગવાન બદલાઈ જતા હોય છે. પહેલા આ દેવીઓની પૂંજા થતી હતી. પછી વૈદિક ધર્મ આવ્યો. વાવાઝોડા અને નેચરલ ડીઝાસ્ટરનાં દેવો આવ્યા, જેવાકે ઇન્દ્ર, વરુણ. હવે બ્રહ્માને કોઈ પુછતુ નથી. પુષ્કરમાં એકજ મંદિર છે. સૂર્યના મંદિર પણ ખાસ હોતા નથી. મોઢેરામાં અને વડોદરામાં સુર્યનારાયણ બાગમાં સૂર્ય મંદિર છે.

જો તમે સમજતા હો કે મહાકાલી કોઈ જગ્યાએ ગાળામાં નરમુંડ ની માળા લટકાવીને ફરતી હશે તો ભૂલમાં છો. જો તમે સમજતા હો કે બગલામુખીના કોઈ ઠગ ભક્તે રચેલા મંત્રો બોલી બોલીને હું સિદ્ધિઓ મેળવી લઈશ તો તમે ભૂલમાં છો.

આજે માતૃદીને પ્રકૃતિના માતા તરીકેના વિવિધ રૂપને માણો, પોતાની માતામાં સમગ્ર પ્રકૃતિની અનુભૂતિ કરો. અને છેવટે પોતાની માતાને લઈને મસ્ત મજાનું ભોજન કરાવી આવો. એક દિવસ તો એને રસોડામાંથી મુક્તિ આપો.

બિનસાંપ્રદાયિક માનવતાવાદનાં બુદ્ધિગમ્ય મૂળિયાં,. ચાર્વાક થી……….

George Jacob Holyoake
George Jacob Holyoake

બિનસાંપ્રદાયિક માનવતાવાદનાં બુદ્ધિગમ્ય મૂળિયાં, ચાર્વાક થી………..

શરુ કરીએ રેશનાલીઝમ થી.. રેશનાલીઝમ ને આપણે વીવેકપંથ કહીએ છીએ. રેશનલ વિચારધારા મતલબ કોઈ વાત કે વાદ ને એમજ માની લેવું અયોગ્ય  છે. કાર્ય અને કારણનો કોઈ સંબંધ હોવો જોઈએ. જ્ઞાન બુદ્ધિગમ્ય હોવું જોઈએ.  એની પાછળ કોઈ રીજન કોઈ કારણ હોવું જોઈએ એને બુદ્ધિ અને તર્ક વડે ચકાસવું જોઈએ. પછી યોગ્ય લાગે તો માનવું બાકી માનવું નહિ આવો સાદો અર્થ વિવેકવાદનો કરી શકાય. જોકે આમ  જોઈએ તો કોઈ વાદ કે વિચારધારા કે દર્શન પોતાનામાં પરિપૂર્ણ હોતા નથી. એમાંથી પછી નવી વિચારધારા પેદા થતી હોય છે.  In philosophy , rationality is the exercise of reason.

 ઍથિઈઝમ એક માન્યતા છે કે ભાઈ ઈશ્વર છે જ નહિ. જ્યારે રેશનાલીઝમ સબ્જેક્ટિવ છે. કાલે કોઈ સોલીડ પુરાવા આપે તો માની પણ લેવાય કે ઈશ્વરભાઈ ભગવાનભાઈ છે. સમયે સમયે વ્યાખ્યાઓ બદલાતી જતી હોય છે, જેમ કે આજે નાસ્તિક આસ્તિકની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. જોકે આવા બીજા અનેક વાદ કે વિચારધારાઓ છે જે લગભગ એકબીજા સાથે નજીવા ભેદે પણ સાથે સાથે ચાલતા હોય છે. શક્ય છે કે જુના રેશનાલીસ્ટો ભગવાનમાં અને ધર્મોમાં માનતા પણ હોઈ શકે.  રેશનાલીઝમ તર્ક અને ગણિત સાથે જોડાયેલું હતું.

Rene Descartes ( ૧૫૯૬-૧૬૫૦) કહેતો કે સપના આવે છે તે સત્ય લાગતા હોય છે અને ઘણી વાર ચિતભ્રમ દશામાં ઘણાને આભાસી દ્રશ્યો પણ સત્ય દેખાતા હોય છે. આમ ઇન્દ્રિયો વડે થતી અનુભૂતિ પણ શંકાજનક હોય છે. Baruch Spinoza (૧૬૩૨-૧૬૭૭),Gottfried Leibniz (૧૬૪૬-૧૭૧૬૦) આ ત્રણે મહાન રેશનાલીસ્ટ ગણિતશાસ્ત્રી હતા. Immanuel Kant ( ૧૭૨૪-૧૮૦૪) ટ્રેડિશનલ રેશનાલીઝમની શરૂઆત કરનારા હતા.

રેશનાલીઝમની સાથે સાથે મુસાફરી કરનારો એક વાદ છે Empiricism. અહીં અનુભવજન્ય જ્ઞાનને મહત્વ આપવામાં આવે છે. અવલોકન, પ્રયોગો, વૈજ્ઞાનિક મેથડ, પુરાવા બધું સોલીડ હોવું જોઈએ. રેશનાલીઝમની જેમ ખાલી રીજન શોધીને બેસી રહેવાનું નથી, પ્રત્યક્ષ પ્રમાણ જોઈએ. John Locke બ્રિટીશ એમ્પીરીસિઝમના મહાન તત્વજ્ઞાની હતા. જ્ઞાન ફક્ત સિદ્ધાંતો પર આધારિત નહિ પણ પ્રયોગમૂલક હોવું જોઈએ તે એમ્પિરિસિઝમનો મહત્વનો સિદ્ધાંત છે. સંશયવાદ Skepticism પણ આ બધા વાદ સાથે ચાલનારો વાદ છે. રેશનાલીઝમમાં ૧૦૦ માંથી ૩૫ માર્ક્સ આવે તો પાસ થઈ જવાય પણ સ્કેપ્ટીસિસમમાં ૧૦૦ માંથી ૧૦૦ જ લાવવા પડે. એક પણ માર્ક ઓછો પડે તો નાપાસ. David Hume (૧૭૧૧-૧૭૭૬)  એમના empiricism અને skepticism માટે ખૂબ જાણીતા હતા. આમ skepticism વિજ્ઞાન પર બહુ મોટો આધાર રાખે છે. અરે વિજ્ઞાન ઉપર પણ સંશય કરવો એમાંથી પણ નકલી વિજ્ઞાન જુદું પાડવું જેને સ્યુડો સાયન્સ કહેવાય. આમ કહેવાતી વૈજ્ઞાનિક વાતો પર પણ સંશય કરે તેવો આ વાદ છે. Skepticism નાં મૂળિયા ચાર્વાક સ્કૂલમાં રહેલા છે. અનેકાંતવાદ પણ આવો જ એક જબરદસ્ત વૈજ્ઞાનિકવાદ હતો કે એક સત્ય જુદા જુદા અનેક પોઇન્ટ ઑફ વ્યુથી જોઈ શકાય છે. દરેકના સત્ય જુદા જુદા હોય છે. એબ્સોલ્યુટ ટ્રુથ જેવું કશું હોતું નથી, non-absolutism.

Innatism ઇન્નેટીસમ  વળી માને છે કે જન્મ સમયે આપણું મન કોઈ કોરી સ્લેટ નથી. આને સહજવાદ કે સહજ પ્રત્યયવાદ પણ કહેવાય છે. આ વાદનું આધુનિક રૂપ છે Nativism નેટિવિઝમ. આને પ્રકૃતિવાદ પણ કહી શકાય. હું જે હ્યુમન નેચર વિષે અને ઈવોલ્યુશનરી સાયકોલોજી વિષે લખું છે તે બધું આ પ્રકૃતિવાદમાં આવી જાય કે આપણાં જિન્સમાં આપણે ઘણું બધું જ્ઞાન જન્મ સાથે લેતા આવીએ છીએ. હમણાં હું કાંગારું વિષે પ્રોગ્રામ જોતો હતો. કાંગારું અવિકસિત બચ્ચાને જન્મ આપે છે એકાદ વેંતનું પણ નાં હોય તેવું આ બચ્ચું જન્મી ને તરત કાંગારુંનાં પેટે રહેલી કોથળી તરફ પ્રયાણ કરે છે. એને કોણે શિખવાડ્યું કે કોણે બતાવ્યું કે ત્યાં કોથળી છે?

આમ લગભગ બધા વાદ કે વિચારધારાઓ કે દર્શન સંપૂર્ણ લાગતા નથી. ક્યાંક ને ક્યાંક ત્રૂટીઓ જણાય છે. Atheism માને છે કે કોઈ ભગવાન કે દેવ કે સુપર નેચરલ પાવર જેવું હોતું નથી. તો Agnosticism માને કે અમુક વસ્તુઓના જવાબ હોતા નથી, નરો વા કુંજ રો વા જેવું.

untitled-=-Richard Dawkins જેવા હાલના ગ્રેટ ડાર્વિનવાદી હવે Secular Humanism ની તરફેણ કરવા લાગ્યા છે, તો ચાલો હવે સેક્યુલરિઝમ વિષે થોડું જાણીએ. સેક્યુલર કે સેક્યુલરિઝમ નો સીધો સાદો અર્થ એવો કરી શકાય કે ગવર્નમેન્ટ કે સંસ્થાઓ કે એના દ્વારા અપાતા અધિકૃત આદેશોને ધાર્મિક સંસ્થાઓ કે ધર્માધિકારીઓ થી અલગ રાખવા. ટૂંકમાં કહીએ તો સરકાર કે સંસ્થાઓનાં વહીવટમાં ધર્મો અને ધર્માધિકારીઓની દખલ જોઈએ નહિ. આને ગુજરાતીમાં બિનસાંપ્રદાયિક કહેતા હોઈએ છીએ. એક એવો અર્થ પણ થાય કે ધર્મો કે ધાર્મિક માન્યતાઓ કે આદેશો થી મુક્ત. એવું પણ કહી શકાય કે જાહેર પ્રવૃત્તિઓ અને નિર્ણયો ખાસ તો રાજકીય, આ બધું ધાર્મિક માન્યતાઓ અને પ્રેકટીશ ની અસર કે પ્રભાવ વગરનું હોય.

સેક્યુલરિઝમનાં બુદ્ધિગમ્ય મુળિયા   Marcus Aureliusઅને  Epicurus જેવા ગ્રીક અને રોમન ફિલોસોફર Denis Diderot, Voltaire, Baruch Spinoza, John Locke, James Madison, Thomas Jefferson, અને  Thomas Paine જેવા વિચારકોમાં અને આધુનિક  freethinkersઅને  atheists એવા  Robert Ingersollઅને  Bertrand Russell વગેરેમાં જોવા મળે છે. સેક્યુલરિઝમ ને ટ્રેડીશનલ ધાર્મિક મૂલ્યો થી દૂર આધુનિકતા તરફ ગતિ કરતી એક ચળવળ પણ ગણવામાં આવે છે. બ્રિટીશ રાઈટર George Jacob Holyoake એ પહેલીવાર ૧૮૫૧મા સેક્યુલરિઝમ શબ્દ ઉછાળ્યો હતો. પોતે agnostic હતો અને ધાર્મિક માન્યતાઓનું ખંડન કર્યા વગર સામાજિક નિર્દેશો ધર્મોયુક્ત નાં હોવા જોઈએ તેવું માનતો હતો. એ કહેતો કે સેક્યુલરિઝમ એ સ્વતંત્ર વિચારધારા છે, કોઈ ક્રીશ્ચિયાનીટી વિરુદ્ધની ગરમગરમ ચર્ચા નથી.

સેક્યુલર સ્ટેટ(રાજ્ય, દેશ) મતલબ ધર્મ અને ચર્ચ થી મુક્તિ. આપણે ધર્મ કે મંદિર થી મુક્ત કહી શકીએ. ચર્ચ કે મંદિર કે મસ્જિદ શબ્દને ધાર્મિક માન્યતાઓ કે આદેશો તરીકે સમજવો. ધાર્મિક પવિત્ર ગ્રંથોમાં જે કાનૂન દર્શાવ્યા હોય જેવા કે Torah અને Sharia તેનાથી અલગ, સરકાર પોતાના કાનૂન ઘડે. ગરબડ એ છે કે દરેકની પોતાની વ્યાખ્યાઓ આવા શબ્દોમાં ઉમેરાતી હોય છે. લોકશાહીમાં ધાર્મિક લઘુમતીઓના હકોનું રક્ષણ કરવું જોઈએ તેવો પણ એક મત હોય છે.

અહી સેક્યુલરિઝમ ગૂંચવાઈ જાય છે. ધાર્મિક લઘુમતીઓને એમના સ્ક્રિપ્ચર પ્રમાણે કાનૂન અને ફાયદા જોઈતા હોય છે. હવે લોકશાહી તરીકે એમને સંતોષ આપવા જાવ તો બીજા લોકોને મનદુઃખ થવાનું જ છે. ભારતમાં એવું જ થાય છે. ભારતના મુસ્લિમોનો દંભ જુઓ એમને ફાયદા શરિયત મુજબ જોઈએ છે પણ સજાઓ ભારતીય કાયદા મુજબ જોઈતી હોય છે. મુસલમાન ચોરી કરે તો શરીયત મુજબ હાથ કાપી નાખો કે વ્યભિચાર કરે તો મારી નાખો અને બીજા ભારતીયોને આ લાગુ પડે નહિ. તો હાલ મુસલમાન શરીયત મુજબ ચાલવાનું ના પાડી દેશે. એમને ફાયદા શરિઆ મુજબ જોઈએ છે સજાઓ નહિ.

સેક્યુલરિઝમમાં ધર્મોનું અપમાન કરવાનો ઈરાદો હોતો નથી, એમાં ફક્ત ધર્મોની ઉપેક્ષા છે. કારણ તમે બધા ધર્મોના પવિત્ર પુસ્તકોમાં લખેલા કાયદા કાનૂન પાળી સરકારો ચલાવી શકો નહિ. કારણ દરેક ધર્મની માન્યતાઓ અને એમાં લખેલા કાયદા કાનૂન અલગ અલગ હોય છે. અમેરિકામાં વસાહતીઓ આવેલા એનું એક ફન્ડામેન્ટલ કારણ દરેક ને જે તે ધર્મ પાળવાની છૂટ મળે તે હતું. અમેરિકન બંધારણમાં કોઈ પણ ધર્મ પાળવાની અને કોઈ પણ ધર્મ નાં પાળવો હોય તો તેમ કરવાનો મૂળભૂત હક છે. પણ ત્યાં કાયદો અમેરિકન સરકારનો પાળવો પડે છે ધર્મ ગ્રંથોમાં લખેલા કાયદા નહિ. અહી તો ફોર્મ ભરો તેમાં હિંદુ ધર્મ કે મુસ્લિમ ધર્મ લખવાની પણ છૂટ છે. ન્યુ જર્સીના પાર્લિનમાં વોશિંગટન રોડ પર આવેલા દ્વારકાધિશ મંદિરમાં કોઈ ઉત્સવ હોય ત્યારે પોલીસ ખડેપગે ટ્રાફિક અને જનતાની સલામતીની જવાબદારી સંભાળે છે. છતાં ધર્મેન્દ્ર અને હેમા મુસ્લિમ બની અહી ફરી લગ્ન કરી શકે નહિ, એ પહેલા ધર્મેન્દ્ર એ ડિવોર્સ લેવા પડે. આમ જોઈએ તો ભારતદેશ  લોકશાહી ખરો પણ સેક્યુલર ના કહેવાય

ઉપર વર્ણવ્યા તે બધા વાદ વિષે જુદા જુદા કલ્ચરમાં ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ થતી હોય છે. દરેકનું પાછું પોતાનું રેશનાલીઝમ અને સેક્યુલરિઝમ હોય છે. ગુજરાતી રેશનાલીસ્ટ ને માંસાહાર કરવામાં કોઈ રેશનાલીઝમ નહિ દેખાય. પણ અમેરિકન રેશનાલીસ્ટ આરામથી ગાયનું માંસ શુધ્ધા ખાશે. આમ તો ખાવાપીવાનું સેક્યુલર કહેવાય એમાં ધર્મોના આદેશની જરૂર નથી હોતી. પણ આજે અગિયારસ છે, ઉપવાસ છે પણ બટેટાનું શાક ખવાય કારણ ધાર્મિક નિર્દેશ છે તો પછી ખાવાનું સેક્યુલર રહ્યું નહિ. હવે આ જ બટેટા જૈન ધર્મમાં ઉપવાસ તો ઠીક રોજીંદા ખોરાકમાં પણ વર્જ્ય છે. બટેટા ખાવા સેક્યુલર ગતિવિધિ છે પણ ઉપવાસ હોય તો પણ ખવાય અથવા તો કદી ખવાય જ  નહિ તેવા ધાર્મિક નિર્દેશ તેને સેક્યુલર રહેવા દેતા નથી. ટૂંકમાં ધર્મના દિવેલ વડે જ દીવા બાળી એના પ્રકાશ વડે પગદંડીઓ શોધવાની જરૂર નથી. બીજા તેલ પણ બજારમાં મળે છે અને હવે તો સરસ બેટરીઓ પણ મળે છે.

ફ્રેંચ રેવલૂશન દરમ્યાન અને ત્યાર પછી તરત જર્મનીમાં સુપરનેચરલ અને કોઈ અદ્રશ્ય સત્તાને ધ્યાનમાં લીધા વગર ફક્ત માનવજાતને ધ્યાનમાં રાખી નૈતિકતાની ફિલોસફીનાં સંદર્ભમાં Humanism (માનવતાવાદ) શબ્દ વપરાવા લાગ્યો હતો. આની સીધીસાદી વ્યાખ્યા જોઈએ તો ઇશ્વર કે કુદરત નહિ, પણે માનવ(નું હિત) જ સર્વોપરી છે એમ માનનાર વિચારસરણી, માનવતાવાદ, સાહિત્ય અને સંસ્કૃતિનું પુનર્જીવન, માણસની જરૂરિયાતો પર ભાર મૂકીને માણસને લગતા સવાલો બૌદ્ધિક માર્ગે ઉકેલવાનો સિદ્ધાન્ત એટલે માનવતાવાદ. ધાર્મિક માનવતાવાદમાં કોઈ ધાર્મિક ગ્રુપ માનવોની જરૂરિયાતો તરફ વધુ ધ્યાન આપે, તકલીફોમાં એમની સેવા પહેલી કરે. ઘણા ધાર્મિક સમૂહો કે સંસ્થાઓ ડીઝાસ્ટર વખતે સેવા કરવા દોડી જતા હોય છે. ખ્રિસ્તી મિશનરી પ્રવુત્તિ નો મુખ્ય હેતુ માનવસેવા હોય છે. પછી એની પાછળ પોતાના ધર્મને ફેલાવવાનો હેતુ છુપાયેલો હોય છે. કારણ એકવાર તમને તકલીફમાંથી બચાવ્યા હોય એટલે તમે એમના ઉપકાર હેઠળ દબાઈ જવાના અને ધીમે ધીમે તે ધાર્મિક સંસ્થામાં જોડાઈ જવા મનેકમને મજબૂર થઈ જાવ તેવું પણ બને. ધાર્મિક સંસ્થાઓના સેવા કાર્યો જેવા કે એમની હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, મફત ભોજન પુરા પાડવા બધું આડકતરી રીતે એમના ધર્મના ફેલાવવા માટે વધુ હોય છે. ઘેટાને વાડામાં પુરવા થોડો ચારો નાખી લલચાવવું પડે. એક હાથે આપો પછી ચાર હાથે લુંટવાનું મળવાનું જ છે. જો કે બધી સંસ્થાઓ આવું કરે તેવું પણ નથી. ઘણી ધાર્મિક સંસ્થાઓ નિસ્વાર્થભાવે માનવસેવા કરતી હોય છે.

માનવને કેન્દ્રમાં રાખી સુપરનેચરલ સત્તાને અવગણી અંગ્રેજીમાં જેને   Human-centered philosophy કહીએ તેના સૌથી જુના ઉલ્લેખ ચાર્વાક અથવા લોકાયત સિસ્ટમમાં છે. આસ્તિકો માનતા હોય છે કે ધર્મ, પાપ-પુણ્ય, સ્વર્ગ-નરક જેવી માન્યતાઓ, ભગવાન કે ભગવાનનો ડર વગેરે વગેરે માનવજાતને નૈતિક બનાવી રાખતો હોય છે. ઘણા કહેતા હોય છે ધર્મ નાં હોય તો પૃથ્વી રસાતાળ જાય. આમ માનવજાતને નૈતિક બનાવી રાખવા ધર્મના સહારે તમામ અનૈતિકતાઓ આચરતા હોય છે. એટલે બધા ધર્મોમાં આદર્શોની મહાન વાતો હોય છે ખરી પણ અમારો ધર્મ પાળો તો જ નૈતિક બની શકો તે હઠાગ્રહને લીધે સૌથી વધુ હત્યાઓ ધર્મના નામે થઈ છે.imagesKHLY2AAI

બીજું ધર્મોમાં નાં માનતા નાસ્તિકો પણ ક્રૂર બની શકતા હોય છે. એમની નાસ્તિકતા એમનો ધર્મ બની જતી હોય છે અને તે નાસ્તિકતા નામનો નવો ધર્મ ફેલાવવાની લાહ્યમાં માનવજાતનું નિકંદન કાઢી નાખવા તત્પર બની જતા હોય છે. એના ઉત્તમ ઉદાહરણ માઓ, માઓવાદી અને રશિયન સામ્યવાદ અને તેમનો militant ઍથિઈઝમ છે. ચીન અને રશિયન નાસ્તિક સરકારોએ પાયાના હ્યુમન રાઈટ્સનું હનન કરેલું છે તેવું ઘણા માને છે. માટે અહી સેક્યુલર માનવતાવાદ આ બધાથી જુદો પડે છે. સુપરનેચરલીઝમ, સુપરસ્ટીશન, સ્યુડોસાયન્સ બધાને દૂર રાખી ને પણ માનવ જાતની સેવા કરી માનવને નૈતિક બનાવી શકાય છે. માનવ ધર્મ અને ભગવાનની સહાય વગર નૈતિક બનવા કેપેબલ છે તેવું આ સેક્યુલર માનવતાવાદીઓ માનતા હોય છે. એથિઈસ્ટ કે અગ્નૉસ્ટિક માનવતાવાદી હોય તે સારી વાત છે પણ માનવતાવાદી હોય જ તે જરૂરી નથી. અને ધાર્મિક સંગઠનો પણ માનવતાવાદી કામો કરતી હોય છે, પણ એમાં ધર્મના બહાને શોષણ થવાનો ભય હોય છે, માટે સેક્યુલર માનવતાવાદ ઉભો થયો છે જેમાં ઍથિઈઝમ ની સંભવિત ક્રૂરતા અને ધર્મના સંભવિત શોષણ વગેરે થી દૂર રહી શકાય.   

બ્રેનનું વસાણું પુસ્તકો

બ્રેનનું વસાણું પુસ્તકોuntitled=-=-

આજે પુસ્તક દિન છે. તો થયું ચાલો પુસ્તકો વિશે કઈક લખું. પુસ્તકો મારા બ્રેન માટે વસાણું છે. બ્રેનનો બદામ પાક કહો કે મનનો મેથીપાક કહો. આપણે શિયાળામાં શરીરને એક્સ્ટ્રા પોષણ મળે માટે વસાણું ખાતા હોઈએ છીએ. મને પુસ્તકો વાંચવાનો શોખ જીનેટીકલી મળ્યો હોય તેમ લાગે છે. ફાધર વકીલ હતા. આખો દિવસ કોર્ટમાં હોય સમય મળે નહિ તો રાતે જાગીને પણ પુસ્તકો વાંચતા. અમે ચારે ભાઈઓ અને એક બહેન બધા વાંચવાના ખુબ શોખીન. ફાધરની ઓફિસમાં કબાટ બધા પુસ્તકોથી ભરેલા રહેતા. “સત્યના પ્રયોગો” મેં એમાંથી જ વાંચેલા..

ફાધર વિજાપુરમાં પ્રેકટીશ કરતા એટલે અમે વિજાપુરમાં રહેતા. વિજાપુર જુના વખતમાં ગાયકવાડ સરકારના તાબામાં હતું. ગાયકવાડ સરકારનો નિયમ કે એમના તાબાના દરેક ગામમાં એક પ્રાથમિક શાળા, એક અખાડો અને એક પુસ્તકાલય ફરજીયાત હોય. વિજાપુરમાં પણ એક સરસ મજાની લાઈબ્રેરી હતી. વળી ફાધર તે પુસ્તકાલયનાં પ્રમુખ પણ હતા. એટલે મારે તો બખ્ખા જ હતા. ગ્રંથપાલ જનુભાઈ જબરા મજાકિયા હતા. હું જાઉં એટલે કહેશે આ માથાની દવા આવી. ચાવીઓનો ઝૂડો મને આપી દે અને કહે મારું માથુ નાં ખાઈશ જે કબાટ ફેંદવું તે ફેંદી લે. બાકી કોઈને ચાવી આપે નહિ. નવા પુસ્તકો આવ્યા હોય તો મને પહેલા આપે. ઘણીવાર સવારે લઈ આવેલું પુસ્તક વાંચીને સાંજે પાછું બદલી આવતો. રજાઓમાં વાંચવાનું ખુબ ચાલતું.

સ્કૂલમાં ગુજરાતી પાઠ્યપુસ્તકમાં નામાંકિત લેખકોની લખેલી વાર્તાઓ કે નવલકથાના ભાગ પાઠ તરીકે ભણવામાં આવતા. પાઠની શરૂઆતમાં લેખકનો પરિચય હોય એમના લખેલા પુસ્તકોની યાદી પણ હોય જ. બસ આપણને ભાથું મળી જતું. બસ એ લેખકે લખેલા તમામ પુસ્તકો લાઈબ્રેરીમાંથી લાવીને વાંચી નાખવાના. ફાધર પોતે થિયોસોફીકલ સોસાયટીનાં મેમ્બર હતા. આમ થિયોસોફીસ્ટ તરીકે જે.કૃષ્ણમૂર્તિ ને સાંભળવા છેક અડ્યાર(મદ્રાસ) સુધી જતા. થિયોસોફીકલ સોસાયટીની શિબિરો ભરાય ત્યારે અમને પણ ઘણીવાર લઈ જતા. તે વખતે સમજ નાં પડે પણ ઉંચી ઉંચી ફિલોસોફીના ભાષણો બગાસા ખાતા ખાતા બહુ સાંભળેલા. આમ ધાર્મિક, અધ્યાત્મિક, ફિલોસોફીકલ પુસ્તકો પણ ખુબ વાંચ્યા છે. માણસા અને વિજાપુરની વચમાં આવેલા અજોલ ગામમાં ફક્ત છોકરીઓ માટે સંસ્કારધામ કરીને બૉર્ડિંગ સ્કૂલ ચાલતી હતી તેમાં એકવાર આચાર્ય રજનીશનો પ્રોગ્રામ હતો. ત્યારે પહેલીવાર આચાર્ય રજનીશને સાંભળેલા. ત્યારે તો બહુ સમજ હતી નહિ.imagesLF4K7W06

અગિયારમાં ધોરણમાં ભણવા બરોડા આવ્યો ત્યારે એક દિવસ મિત્ર કલ્યાણસિંહ યાદવ સમાચાર લાવ્યા કે કારેલીબાગમાં બહુચરાજી રોડ પર ‘સ્વરૂપમ રજનીશ ધ્યાનકેન્દ્ર’ ચાલે છે ત્યાં દર બુધવાર અને શનિ-રવી એમના પ્રવચનોની કેસેટ સાંભળવા મુકવામાં આવે છે. બસ પછી તો દર બુધ-શનિ-રવિ આચાર્ય રજનીશના કેસેટમાં કંડારેલા પ્રવચનો સાંભળવા જવાનો નિયમ થઈ ગયેલો. પછી તો એ આચાર્યમાંથી ભગવાન અને પછી ઓશોમાં તબદીલ થઈ ગયા પણ એમને નિયમિત વાંચવાનો સિલસિલો શરુ થઈ જ ગયેલો. એક ઓશો ભક્ત ફક્ત ઓશોના પુસ્તકો અને કેસેટ્સ ની લાઈબ્રેરી ચલાવતા એમાંથી લાવી લાવી ને ખુબ વાંચ્યું અને સાંભળ્યું પણ ખરું. ઓશોના પુસ્તકની એક ખૂબી એ હોય છે કે ઓશો કદી પેન પકડીને લખતા નહોતા. એટલે ઓશો જે પ્રવચન આપે તે રેકોર્ડ થાય અને તે અદ્દલ પુસ્તક રૂપે મુકાય. એટલે ઓશોનું પુસ્તક વાંચતા હોઈએ તે સમયે એકાગ્ર થઈ જઈએ તો એવું લાગે કે ઓશોનું પ્રવચન સાંભળીએ છીએ.

ધમ્મપદ ઉપર ઓશો પ્રવચન આપતા હતા. બુદ્ધનું એક વાક્ય હતું કે “જેને સાંભળવાની કળા આવડતી નથી તેનું શરીર આખલાની જેમ વધે છે પણ પ્રજ્ઞા વધતી નથી”, આ વાક્ય ઉપર ઓશોએ ખુબ સરસ પ્રવચન આપેલું એમાં સાંભળવાની કળા જેને આપણે અંગ્રેજીમાં ગુડ લીસનીંગ કહીએ છીએ તે સવિસ્તર સમજાવેલું. સાંભળે તો બધા છે જ. પણ એની કલા કોને આવડે છે? અહી એમણે માનસિક અને શારીરિક ઉંમર વચ્ચેનો તફાવત પણ સમજાવેલો. બુદ્ધના જમાનામાં વાંચવાનું ઓછું હશે સાંભળવાનું વધુ હશે. હવે આજના આધુનિક પ્રિન્ટ મીડીયાના જમાનામાં સાંભળવાનું ઓછું પણ વાંચવાનું વધુ હોય ત્યારે ગુડ લીસનીંગ ની જેમ ગુડ રીડીંગની કલા ના હોય તો આપણું શરીર આખલાની જેમ વધે પણ પ્રજ્ઞા મતલબ બુદ્ધિ વધે નહિ. આમ ગુડ લીસનીંગ જેટલું જ ગુડ રીડીંગ પણ મહત્વનું છે. હવે આ ગુડ રીડીન્ગની વ્યાખ્યા પાછી સાપેક્ષ છે. .. હહાહાહાહાહા

હવે તો e-books આવી ગઈ છે. ઓનલાઈન અઢળક વાંચવા મળે. હું ભારતમાં હતો ત્યારે સવારે સંદેશ ન્યુઝ પેપર વાંચતો તે હું અત્યારે સવારે મારા iphone માં વાંચી લઉં છું. આમ 1618657_10152247937690739_682865673_nવાંચવું મારા બ્રેનનો ખોરાક છે વસાણું છે.

યે પાપ હૈ ક્યા ઔર પુણ્ય હૈ ક્યા ?

 યે પાપ હૈ ક્યા ઔર પુણ્ય હૈ ક્યા ?scrts

“સૉક્રેટિસ મહાન ફિલસૂફ હતા, મીરાં મહાન હતી છતાં તેમને બંનેને ઝેર શા માટે પીવું પડ્યું? ઈશુ ખ્રિસ્ત ભગવાનના એકના એક પુત્ર હતા, ગાંધીજી મહાત્મા હતા તેમની કરુણ હત્યા કેમ થઈ? પરમહંસ સ્વામી રામકૃષ્ણ ઋષિ હતા. તેમનું મૃત્યુ કેન્સર થી શા માટે થયું? આવા પુણ્યશાળી મહાત્માઓએ પણ એમના આગલા જન્મમાં અક્ષમ્ય અપરાધ કે ઘોર પાપ કર્યા હશે, જેથી તેમના જીવનનો અંત કરુણ આવ્યો? જો તેમને પૂર્વ જન્મમાં કઈ મોટા અપરાધ કે પાપ કર્યા હોય તો આ જન્મમાં મહાત્મા બનવાનું તેમનું પ્રારબ્ધ કોણે લખ્યું?”

ઉપર મુજબના સવાલ એક યુવાન મિત્ર પ્રહલાદસિંહ જાડેજાના મનમાં સામટાં ઉદ્ભવ્યા છે. અને આ સવાલો એમણે ફેસબુકમાં મૂક્યા છે. ફેસબુક ખાલી ફોટા શેઅર કરવાનું કે ગપ્પાં મારવાનું સ્થળ નથી રહ્યું. ત્યાં વિચારશીલ મિત્રો ઘણી ગહન ચર્ચા કરતા હોય છે. કર્મના નિયમમાં જે છીંડા છે તેને અનુલક્ષીને આવા સવાલો ઉદ્ભવતા હોય છે. ઉપર લખેલા કહેવાતા મહાત્માઓએ આગલા જન્મમાં ઘોર પાપ કર્યા હોય તો આ જન્મમાં પુણ્યશાળી કઈ રીતે બન્યા? વળી ઈશુ તો ભગવાનના પુત્ર હતા. એમને તો વળી કેટલી બધી ક્રૂરતા થી ક્રોસ પર ચડાવી દીધા? ખ્રિસ્તીઓ કહેશે જીસસે આપણા પાપોની સજા ભોગવી. પાપ આપણે કરીએ અને સજા બીજો કોઈ શું કામ ભોગવે?

પાપ પુણ્ય ની કોઈ ચોક્કસ વ્યાખ્યા છે ખરી? આપણે જેને પાપ સમજતા હોઇએ તેને બીજા લોકો આરામથી કરતા હોય છે. હિંદુ માટે ગાયની હત્યા કરવી પાપ ગણાય તો મુસલમાન અને ખ્રિસ્તી માટે તે પાપ કેમ નહિ? નિયમ તો સરખો જ હોવો જોઈએ ને? બીફ ખાવું પાપ ગણાય તો મરઘી એ શું ગુનો કર્યો? વળી જૈન માટે તો કીડી મરી જાય તો પણ પાપ લાગે. માટે જૈનો ખેતી કરતા નથી. ખેતી કરવામાં હળ ચલાવવું પડે એમાં અસંખ્ય જીવ જંતુઓ મરી જાય માટે પાપ લાગે. એ પાપ હિંદુઓ ભલે કરતા. પણ એ પાપનાં ફળ રૂપે પાકેલું અનાજ જૈન થી ખવાય એમાં પાપ નાં લાગે. છે ને હસવા જેવી વાત?

કર્મની કહેવાતી થીઅરીમાં જૈનો સૌથી વધુ માનતા હોય છે. ઓશોએ એક બહુ મસ્ત રમૂજી દાખલો આપેલો. કોઈ માણસ ધારો કે કૂવામાં પડી ગયો છે અને બચાવવા બુમો પાડે છે. હવે ત્યાંથી હિંદુ નીકળશે તો એને બચાવવો જોઈએ તે માટે પ્રવચનો આપશે, ફંડ ફાળો ઉઘરાવશે ભલું હશે તો ત્યાં મંદિર બનાવી નાખશે, ખ્રિસ્તી નીકળશે તો કમરથી દોરડું છોડી સીધું લટકાવી દેશે કૂવામાં. ઓશો હસતા હતા કે ખ્રિસ્તી સેવા કરવા હમેશાં તૈયાર જ હોય કે ક્યારે કોઈ કૂવામાં પડે એની જાણે રાહ જ જોતા હોય, ને સેવા કરવાનો ચાન્સ મળી જાય. દોરડું ડોલ બધું રેડી જ હોય. અને જૈન નીકળશે તો આડું જોઇને ચાલ્યો જશે જાણે કશું જોયું જ નથી. કૂવામાં પડ્યો તો કરમ એના. આ જન્મે નહિ તો ગયા જન્મે કોઈ કરમ કર્યું હશે. અને ધારો કે એને બચાવીએ અને બહાર નીકળી ભવિષ્યમાં કોઈનું ખૂન કરી નાખે તો?  હિટલર બની જાય તો? તો એમાં ભાગીદાર ગણાઈ જવાય.. એટલે જૈનો પુણ્ય કરવા પાંજરાપોળ ખોલશે કીડીયારા પૂરશે. પશુઓ અને જીવજંતુ હિટલર તો બનવાના નથી જ. એટલે એમના પાપમાં ભાગીદાર બનવાના ચાન્સ ઓછા. હિંદુઓ ખેતી કરી પાપ કરે, યુદ્ધો કરી પાપ કરે આપણે અનાજ ખાવાનું અને અહિંસા પરમોધર્મનાં નારા લગાવે રાખવાના.  imagesZBUXCP4Z

આમ પાપ-પુણ્ય ની કોઈ સચોટ વ્યાખ્યા છે જ નહિ તો એના લીધે ભોગવવા પડતા ફળ માટે કોઈ સચોટ નિયમ ક્યાંથી હોય? કયા કર્મને સારા ગણવા કે કયા કર્મને ખરાબ ગણવા તેની જ કોઈ સચોટ વ્યાખ્યા કે નિયમ છે નહિ. ભૌતિકશાસ્ત્ર કે શરીરશાસ્ત્ર કે રસાયણશાસ્ત્રનાં સચોટ નિયમો હોય છે જે બધાને બધી રીતે સરખાં જ લાગુ પડતા હોય છે. સફરજન ઝાડ પરથી પડે ત્યારે નીચે જ પડે છે ઉપર ગતિ કરતું નથી. સફરજન નીચે પડે અને કેરી ઉપર જાય તેવું બને નહિ. ઝાડ પરથી મુસલમાન કે ખ્રિસ્તી નીચે પડે અને હિંદુ કે જૈન ઉપર તરફ જાય તેવું પણ બને નહિ.

શ્રી પ્રહલાદસિંહનાં બીજા પ્રશ્નો જુઓ, “જ્યારે કોઈ મોટી કુદરતી દુર્ઘટના બને ત્યારે કે નદીના પૂર, ધરતીકંપ, જવાળામુખી, દુષ્કાળ, વાવાઝોડાના તોફાનો થાય ત્યારે, હજારો મનુષ્યો, પશુઓ, જંતુઓનો એકીસાથે નાશ થાય છે. કેટલાય ઘરબાર વગરના બને છે કેટલાય ઘાયલ થાય છે ત્યારે સવાલ થાય કે શું એક જ વિસ્તારમાં વસતા આટલા બધા લોકોને તેમના ઓછાં-વત્તા, સારા-નરસા કર્મો માટે સામુદાયિક રૂપની એક જ પ્રકારની સજા થાય? શું તે દરેકના કર્મો એકસમાન હતાં? પ્રારબ્ધમાં લખાયું હોય તે ભોગવવું પડે તો પ્રારબ્ધ લખવા માટે કોઈ ઈશ્વરીય નિયમો તો હશે ને? કોર્ટ કોઈને સજા કરે ત્યારે તેને કયા ગુના માટે સજા થઈ તેની જાણ આરોપીને કરે છે, પણ કર્મફળની ઈશ્વરી અદાલતમાં સજા થાય છે તે તેના ક્યાં કર્મો માટે થાય છે તેની કશી જાણ થતી નથી. આ સજા આ જન્મના કુકર્મો માટે થઈ કે પૂર્વજન્મના કુકર્મો માટે થઈ તે વિશે કશી જાણ થતી નથી. મનુષ્યને પૂર્વજન્મનાં પાપ પુણ્યની સ્મૃતિ રહેતી નથી. તેથી મનુષ્ય આગલા જન્મમાં કરેલ ભૂલોનું પુનરાવર્તન કર્યે જાય છે મનુષ્યની આવી સ્થિતિ માટે ખરેખરતો પ્રારબ્ધ યા ઈશ્વર ગુનેગાર ગણાય મનુષ્યતો અજ્ઞાની છે તેને તેના અજ્ઞાન માટે માફી આપવી ઘટે.”

મિત્રો પ્રહલાદસિંહનાં પ્રશ્નો વિચારતા કરી મૂકે તેવા છે. મૂળ પાપ-પુણ્ય, પુનર્જન્મ, પ્રારબ્ધ આ બધી માન્યતાઓ છે અમૂર્ત વિચારણાઓ છે. આ બધા સવાલો જ બતાવે છે કે આ બધી થીઅરીમાં ક્યાંક ખોટ છે. એટલે જ્યારે પ્રાકૃતિક દુર્ઘટનાઓ બને છે ત્યારે મંદિરો કે ચર્ચ જે આડે આવે તે ફૂંકાઈ જતું હોય છે. કહેવાતા પુણ્યશાળી આત્માઓ પણ એમાં દેવલોક પામી જતા હોય છે. પ્રકૃતિ કોઈને છોડતી નથી. પ્રકૃતિને ખબર હોતી નથી કે આ પાપી છે કે પુણ્યશાળી. આ મંદિર છે એટલે એને અસર નાં થવી જોઈએ તેવું પ્રકૃતિની સમજમાં આવે નહિ. પ્રકૃતિ સમાન સિવિલ કોડમાં માને છે. હિંદુ માટે જુદા કાયદા અને ખ્રિસ્તી કે મુસલમાન માટે જુદા કાયદા તેવું પ્રકૃતિમાં હોય નહિ.

રામકૃષ્ણ પરમહંસ દેવને કેન્સર થયું તે શરીરશાસ્ત્રનાં નિયમો.. એમને જે જિનેટિક વારસો એમના પૂર્વજો તરફથી મળ્યો હશે એ પ્રમાણે બન્યું હશે. એમાં રામકૃષ્ણ દેવે ગયા જન્મમાં કોઈ પાપ કર્યા હશે માટે આમ થયું તે કહેવું જ નકામું છે. ઊલટાનું એવું માનવું કે કહેવું તે રામકૃષ્ણ જેવા માનવ માટે અપમાનજનક કહેવાય. ખાનપાન ની ટેવો, વાતાવરણ અને જિનેટિક વારસો બધું ભેગું મળીને આપણને આરોગ્ય પ્રાપ્ત થતું હોય છે. હું આખો દિવસ મંજીરા વગાડી પ્રભુનું ભજન કરું અને ટી.બી યુક્ત ફેંફસા ધરાવતા ચરસી બાવાઓ ભેગો બેસી એમની એંઠી ચલમ ફૂંકુ તો મને ટી.બી. થવાનો જ છે. અહીં પ્રભુ કહેવાનો નથી કે આ મારો ભક્ત છે ટીબી મહાશય એમનાથી દૂર રહેજો. કદાચ મારી રોગપ્રતિકારક શક્તિ બળવાન હોય તો ટીબી મહાશય દૂર પણ રહે એમાં કોઈ નવાઈ નહિ. હું ધ.ધુ.પ.પુ  ૧૦૦૮ હોઉં છતાં વાતાવરણની અસરમાં શરદી થવાની છે. કિડની સ્ટોન અને હાર્ટ પ્રૉબ્લેમ મારો જિનેટિક વારસો છે. આમાં પાપપુણ્ય અથવા કર્મોના લીધે થાય છે તેવું માનવું જ નકામું. કહેવાતા પાપીઓ ટપ દઈને કોઈ પણ તકલીફ વગર મરી જતા મેં જોયા છે અને કહેવાતા પુણ્યાત્માઓ રિબાઈ રિબાઈ ને મરતા પણ જોયા છે. એમાં કોઈ દોષી હોતું નથી.

દરેક માણસની એક વ્યક્તિગત સર્વાઈવલ સ્ટ્રેટેજી હોય છે. આ સ્ટ્રેટેજી જન્મે ત્યારથી ઘડાવા માંડતી હોય છે. બાળક જન્મે ત્યારથી એના બ્રેનમાં સર્કિટો ગૂંથાવા લાગતી હોય છે, માહિતી અને અનુભવોનું પ્રોસેસિંગ, સિન્થેસિસ સતત ચાલતું જ હોય છે. માટે બે વર્ષનું થાય ત્યાં સુધી બાળકને નાહક જરૂર વગર રડવા દેવું નહિ તેવું ન્યુરોસાયંસ કહે છે. રડે કે તરત ઊચકી લેવું તેવું કહે છે. કારણ રડે એટલે સર્વાઈવલ મોડ ઉપર સ્વિચ ઓન થઈ જાય એટલે પેલું બ્રેન સિન્થેસિસ અટકી જાય. બાળક આજુબાજુના વાતાવરણ પ્રમાણે બધું શીખતું જતું હોય છે. શીખવાનું તો લગભગ આખી જીંદગી ચાલુ જ રહેતું હોય છે પણ બચપણમાં જે પગદંડીઓ બ્રેનમાં ન્યુઅરલ પાથ વે તરીકે બની ગઈ હોય તે આખી જીંદગી તેની સેવા કરતી હોય છે. એને જ આપણે સાદી ભાષામાં સંસ્કાર કહીએ છીએ.

બાળક પહેલું એના માબાપ પાસેથી શીખતું હોય છે. માટે આપણે માબાપના સંસ્કાર એમ કહેતા હોઈએ છીએ. હવે આ તમામ માહિતી અને અનુભવોનું પ્રોસેસિંગ અને સિન્થેસિસ કરીને એમાંથી ઇમ્પ્લીમેન્ટેશન કેટલું અને કઈ રીતે થશે તે કહેવાય નહિ. બ્રેન સર્કિટ કે પાથવે કે પગદંડી કેવી અને કઈ બનશે કહેવાય નહિ. પિતા સ્ટ્રેસ અનુભવતા સિગારેટ સળગાવે છે તે જોઈ બાળક મોટું થઈ ને તેનું અનુકરણ કરી શકે છે અથવા પિતા સિગારેટ ફૂંકી ફૂંકી લંગ કેન્સરમાં અકાળે મરી ગયા છે તો બાળક મોટું થઈ કદાચ જિંદગીભર સિગારેટને હાથ નાં લગાડે તેવું પણ બને અથવા પિતાના આવા અકાળ દુઃખદ મૃત્યુમાંથી કશું શીખ્યા વગર સિગારેટ પીધે પણ રાખે.

તમને મુઘલ બાદશાહોની એક સર્વાઈવલ સ્ટ્રેટેજીની ખબર જ હશે કે પિતાને જેલમાં નાખી કે ભાઈઓ વગેરેને મારી નાખી ગાદી પર ચડી બેસવું. બીજા મુસલમાન જેવા કે અરબસ્તાન કે ઓટોમન સામ્રાજયનાં બાદશાહો કે ખલીફાઓ આવું કરતા હતા તેવું જો તમને માનતા હોવ તો ખોટું છે. આ ખાલી મુઘલોનો સાંસ્કૃતિક કે જિનેટિક વારસો ગણો તો ગણી શકાય. મૂળ મુઘલો પહેલા મુસલમાન હતા જ નહિ. મોંગોલિયા જે ચીનની બાજુમાં આવ્યું ત્યાંની આ પીળી પ્રજા મુઘલો હતા. ચંગીઝખાન ત્યાંનો ઇતિહાસ પ્રસિદ્ધ સમ્રાટ હતો તે મુસલમાન નહોતો. આ મુઘલો મોન્ગોલીયામાં હતા મુસલમાન નહોતા ત્યારથી બાપને કે ભાઈઓને મારી ગાદી પર ચડી બેસવાની સર્વાઈવલ સ્ટ્રેટેજી અપનાવતા હતા. કાલક્રમે એમના વંશજો અફઘાનિસ્તાન આવ્યા મુસલમાન બન્યા અને પછી હિન્દુસ્તાનમાં આવ્યા પણ પેલી સર્વાઈવલ સ્ટ્રેટેજી જોડે લઈને આવ્યા. આ નામ પાછળ ખાન લગાવવાનો રિવાજ મોન્ગોલીયામાં હતો અરબસ્તાનમાં નહિ..

ભુટ્ટો રાજકારણમાં પડ્યા ખૂબ કરપ્શન કર્યું અને છેવટે ફાંસી પર લટકી ગયા પણ એમાંથી બેનઝીર શું શીખી? એ પણ રાજકારણમાં પડી ખૂબ કરપ્શન એણે એના હસબન્ડ સાથે મળીને કર્યું ને બૉમ્બ બ્લાસ્ટમાં મરી.. ઇન્દિરાજીની હત્યા થઈ, રાજીવ ગાંધીની પણ હત્યા થઈ પણ બચપણમાં બ્રેનમાં ગૂંથાઈ ગયેલી સર્વાઈવલ સ્ટ્રેટેજી વળી પાછી રાહુલને રાજકારણમાં ખેંચી ગઈ કે નહિ? મેં શાહજહાં મેમલિયન ટ્રેજેડી નામનો લેખ લખેલો જ છે.

જેમ વ્યક્તિગત સર્વાઈવલ સ્ટ્રેટેજી હોય છે તેમ આખા સમૂહની કે સમાજની પણ એક સર્વાઈવલ સ્ટ્રેટેજી હોય છે. કારણ આખરે માનવી સમૂહમાં રહેવા સમાજમાં રહેવા ઇવોલ્વ થયેલો છે. હિંદુ સમાજ, જૈન સમાજ, ખ્રિસ્તી સમાજ એમાય પાછાં પેટા સમાજો એમની થોડી જુદી સ્ટ્રેટેજી અપનાવતા હોય તો વૈષ્ણવ સમાજ, સ્વામિનારાયણ સંપ્રદાય. એટલે હું કહું છું હિંદુ એટલે જીવન જીવવાનો એક તરીકો. માનવ પાસે બીજા પ્રાણીઓની કમ્પેરીઝનમાં એટલું બધું મોટું વિચાર કરી શકે તેવું બ્રેન છે કે આમાં જાતજાતના ભાતભાતના કોમ્બિનેશન મળી જશે. ધર્મો એક બહુ મોટા સમુહે જીવન જીવવાના સર્વાઈવલ સ્ટ્રેટેજી તરીકે અપનાવેલા તરીકા માત્ર છે. સ્થળ, કાળ અને વાતાવરણ પ્રમાણે આમાં પણ ફેરફાર થયે જ જતા હોય છે. આજ હિંદુ સમૂહ પશુઓના બેફામ બલિદાનો એક સમયે આપતો હવે એણે નક્કી કર્યું કે આવું બધું ખોટું છે. સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ ની આગેવાની હેઠળ આજ બીકણ ગણાતા ગુજરાતીઓએ માળવા, મેવાડ અને મારવાડ ઉપર ચડી જઈને બધું ધમરોળી નાખેલું. એના પછી આવેલા કુમારપાળે જૈનધર્મ અપનાવ્યો, માથામાં પડતી ‘જુ’ મારવાનો પ્રતિબંધ મૂક્યો ને ધીમે ધીમે ???? વાતાવરણ ની અસર જિન્સ ઉપર અને જિન્સની અસર વાતાવરણ ઉપર પડતી હોય છે. નેચર અને નર્ચર બધું અરસપરસ કામ કરતું હોય છે.

હવે આ સમુહે નક્કી કરેલી સર્વાઈવલ સ્ટ્રેટેજી બહાર કશું કરો એટલે સમાજ કહેશે પાપ કર્યું. એને સપોર્ટ કરતું કશું કરો એટલે કહેશે પુણ્ય.. વ્યક્તિગત હોય કે આખા સમૂહની જે તે સ્ટ્રેટેજી સારી છે કે ખરાબ તે અલગ વિષય છે. એક સમયે યજ્ઞોમાં પશુઓના બલિદાન આપવા પુણ્ય ગણાતું, ધર્મ ગણાતો. આજે ?? જૈન સમાજ માટે કીડી મારવી પાપ ગણાય અને બકરી ઈદના દિવસ કેટલા બકરાં ધાર્મિક વિધિ તરીકે કપાઈ જતા હશે? બંગાળના બ્રાહ્મણના પણ ઘર પાછળ પુકુર નામથી નાનું તળાવ હશે અને તેમાંથી પકડીને રોજ માછલી ખવાય તો પાપ નાં લાગે? અને ધર્મના કહેવાતા ઠેકેદાર પાંડુરંગ દાદાએ સમજ્યા વગર ગુજરાતના માછીમારોને માછલા ખાતા તે પાપ કહેવાય સમજાવી એક સરળ સસ્તો ઓમેગા-૩ મેળવવાનો રસ્તો બંધ કરી દીધો. એ બિચારાં બદામ તો ખાઈ શકવાના નથી. આ તો જસ્ટ દાખલો આપું છું કોઈ સ્વાધ્યાયીએ ખોટું લગાડવાની જરૂર નથી. ઈંડા અને માછલી ખાવાથી પાપ લાગતું હોય તો બધાને સરખું જ લાગે હિંદુ હોય, ગુજરાતી હોય કે મુસલમાન શું ફરક પડે છે? તિબેટમાં એક સ્ત્રીના અનેક પતિ હોય છે જ્યારે આપણે એક ભવમાં બે ભવ નાં કરાય કહી પતિ સિવાય બીજા પુરુષનું ચિંતન કરવું પણ પાપ ગણીએ છીએ. કેન્સર થાય સારી સારવાર મળી જાય તો ઘણા બચી જતા હશે પણ લગભગ બધા જ મરે હિંદુ હોય કે ખ્રિસ્તી કે રામકૃષ્ણ પરમહંસ કોઈ ફરક પડે નહિ. ઉત્તરાખંડમાં આભ ફાટે ત્યારે જે ઝપટમાં આવે તે બધા જાય એમાં ફલાણો પાપી અને ફલાણો પુણ્યશાળી એવું કશું હોય જ નહિ.

સર્વાઈવલ સ્ટ્રેટેજી વ્યક્તિગત હોય, કુટુંબની હોય, આખા સમાજ કે જ્ઞાતિની હોય, ગામની હોય, દેશની હોય, સંસ્કૃતિની હોય ધર્મની હોય જાતજાતની હોય ભાતભાતની હોય અને બધાનાં શંભુમેળા જેવી પણ હોય. સ્થળ બદલાય તો બદલાઈ પણ જાય. વાતાવરણ બદલાય તો બદલાઈ પણ જાય. દેશ બદલાય ધર્મ બદલાય તો પણ બદલાઈ જાય. વાંચન અને ચિંતનમનન થકી પણ બદલાઈ જાય. અમુક બદલાય અને અમુક ના પણ બદલાય. પણ બચપણમાં જે હાર્ડ વાયરિંગ બ્રેનમાં થઈ ગયું હોય છે તે આખી જીંદગી સેવા આપતું હોય છે તે હકીકત છે. પણ એને થોડા વિરલા સદંતર બદલી શકતા હોય છે. થોડા વિરલા નવી પગદંડી બ્રેનમાં બનાવી લેતા હોય છે. એને આપણે મહામાનવો કહેતા હોઈએ છીએ.

પાપ-પુણ્ય, લોક-પરલોક, પ્રારબ્ધવાદ, અવતારવાદ, પુનર્જન્મ, સર્વે એક સમાન(ઇક્વાલિટી) આવી અનેક ધારણાઓ વિચારણાઓ મોટું બ્રેન કરતું હોય છે. મોટા બ્રેન જોડે શબ્દોની ભાષા છે. ઊંચા ઊંચા આદર્શોની વાતો લાર્જ કોર્ટેક્સ આરતુ હોય છે. મેમલ બ્રેન પાસે અક્ષરધામ નથી તે શબ્દોની ભાષા જાણતું નથી. આપણે કહીએ કે આપણે બધા સરખાં છીએ. એવરીવન ઇઝ ઇક્વલ. એક ઉચ્ચ આદર્શ ગણીએ તો સારી વાત છે.   Equality is an abstraction, and the mammal brain does not process abstractions. આપણા આવા અનેક આદર્શો અમૂર્ત વિચારણા હોય છે.

અહિંસા પરમોધર્મ, વસુધૈવ કુટુમ્બકમ અને ઇક્વાલિટી જેવી અનેક અમૂર્ત વિચારણાઓને મેમલ બ્રેઈન પ્રોસેસ કરી શકતું નથી. તેની ભૂખ feel good  પૂરતી હોય છે. તેની ભાષા ફક્ત સર્વાઈવલની છે. આપણે કરોડો વર્ષ તૃણઆહારી પ્રાણીઓ તરીકે જન્મ્યા હતા. આપણે કરોડો વર્ષ માંસાહારી પ્રાણીઓ તરીકે જન્મી ચૂક્યા છીએ, આપણે કરોડો વર્ષ ઉભયહારી પ્રાણીઓ તરીકે જન્મ લેતા હતા. અને લાખો વર્ષથી ઉભયહારી મનુષ્ય તરીકે જન્મ લઈ રહ્યા છીએ. સમૂહમાં જીવવા માટે આપણે ઇવોલ્વ થયેલા છીએ. એટલે જ્યારે કોઈ સમુહને એમ લાગે કે સમૂહના સર્વાઈવલ માટે જે તે સ્ટ્રેટેજી સમાજે ઘડી કાઢી છે ભલે તે આજે ખોટી લાગે પણ તેની બહાર જઈને કોઈ નવો રાહ અપનાવે ત્યારે જે તે સમાજને જે તે સમયે તે નુકશાન પમાડશે તેવું લાગે તો એને ખતમ કરી નાખવામાં આવે છે. ભલે તે નવો રાહ ભવિષ્યમાં સમાજને લાભ પહોચાડે તેવો જ કેમ નાં હોય? આજે આપણે નરસિંહ મહેતાને મહાન સુધારક ગણીએ છીએ કે એમણે હરિજનવાસમાં ભજન ગાઈને એક સુધારાનાં બીજ વાવ્યાં, પણ ૧૪મી  સદીના કોઈ નાગરને પાછો બોલાવી પૂછો તો નરસિંહ મહેતા એ ઘોર પાપ કરેલું તેમ જ કહેવાનો. નરસિંહને મુકો નાતબહાર. મારો ગાંધીને ગોળી, આપો સોક્રેટીસને અને મીરાં ને ઝેર, ચડાવો જિસસને ક્રોસ ઉપરimages

આપણા વ્યક્તિગત કે કૌટુંબિક ભલા કે સર્વાઈવ માટે જે કરીએ તે પુણ્ય અને નુકસાનકારક કરીએ તે પાપ પણ આપણે સમૂહમાં જીવવા ઇવોલ્વ થયેલા છીએ માટે સમૂહ સર્વાઈવ થશે તો આપણે સર્વાઈવ થઈશું તેવું જાણી સમૂહના ભલા માટે, સર્વાઈવ માટે જે કરીશું તે પુણ્ય અને સમૂહને નુકશાન થાય તેવું કરીશું તે પાપ. સમૂહના ભલા માટે સમાજના ભલા માટે કોઈવાર વ્યક્તિગત ફાયદાને તિલાંજલિ આપીએતે પરમાર્થ. પણ પરિવર્તનશીલ સંસારની હકીકત જાણી કેટલાક સ્વપ્નદ્રષ્ટા (વિઝનરિ) પોતાના સમૂહના કે સમગ્ર માનવજાતના ભવિષ્યના ભલા માટે સાંપ્રત સમાજની તત્કાલીન સર્વાઈવલ સ્ટ્રેટેજી છોડી નવો રાહ અપનાવી એના માટે બલિદાન આપે છે તેને આપણે સોક્રેટીસ, ગાંધી કે જિસસ તરીકે ઓળખીએ છીએ.

આ પુસ્તક “માનવ મન એક ચક્રવ્યૂહ” કેમ વાંચવું જોઈએ?

scan0001bookઆ પુસ્તક “માનવ મન એક ચક્રવ્યૂહ” કેમ વાંચવું જોઈએ?

પ્યારા મિત્રો,

તમે ગીતા વાંચી છે? સુખદુઃખ માં સમભાવ રાખવો તેવું એમાં લખ્યું છે પણ આપણે રાખી શકતા નથી. નરસૈયો કહે છે સુખદુઃખ મનમાં ના આણીએ રે ઘટ સાથે રે ઘડિયા. આના વિષે જાત જાતની ફીલોસફી આપણા તત્વજ્ઞાનીઓ સમજાવે છે પણ કોઈ ફરક પડતો નથી. સુખદુઃખ પાછળ કોઈ ફીલોસફીને બદલે એની પાછળ બાયોલોજી હોય તેવું તમે માની શકો છો? એની પાછળ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે તેવું તમે માની શકો છો? અરે એની પાછળ ન્યુઅરોસાયંસ છે તેવું તમે માની શકો છો? નથી માની શકતા ને? તો આ પુસ્તક તમારે જરૂર વાંચવું જોઈએ. સર્વાઈવલ માટે થ્રેટ અનુભવીએ એટલે દુઃખની લાગણી પેદા થાય અને સર્વાઈવલને સપોર્ટ કરતુ કશું પણ બને તરત હર્ષની લાગણી ઉદભવે અને તેના માટે મગજમાંથી સ્ત્રવતા રસાયણો જવાબદાર હોય છે તેની સરળ વિગત અને સમજુતી વાંચવી હોય તો આ પુસ્તકના પાનાં ઉકેલવા પડે.

બિલ ક્લિન્ટન આટલો બધો પ્રતિષ્ઠિત માણસ એક મહાન દેશનો સર્વોચ્ચ વડો એની એક કારકુન સાથે મળીને એની તમામ પ્રતિષ્ઠા ધૂળમાં મેળવવા શા માટે મજબૂર બન્યો? અર્નોલ્ડ કેલીફોર્નીયા જેવા માતબર સ્ટેટના ગવર્નર હોલીવુડના આકાશમાં સદૈવ ઝગમગતા તેજ સિતારા લાંબુ લગ્નજીવન ભાગી પડે તેટલી હદે ઘરમાં કામ કરતી મહિલામાં કેમ ફસાયા? કોઈ પ્રતિષ્ઠિત કરોડપતિની દીકરી કહેવાતા મવાલી જોડે ભાગી જાય છે ત્યારે આખા સમાજને આંચકો લાગે છે. કોઈ મહારાજાની દીકરી એના ડ્રાઈવર જોડે લગ્ન કરી લે છે ત્યારે લોકોને બહુ મોટો આઘાત લાગતો હોય છે. આવું તો ઘણું બધું આપણને સમજાતું નથી. તે સમજવા અને ઉત્ક્રાન્તિના ફોર્સ તમને કેવી રીતે ખેંચી જાય છે તે સમજવું હોય તો આ પુસ્તક ખોલવું પડે.

 માનવસમાજ પૉલીગમસ હતો, બહુપતિત્વ અને બહુપત્નીત્વ સામાન્ય હતું. હવે જ્યારે માનવસમાજ લગભગ મોટાભાગે મનૉગમસ બની ચૂક્યો છે,  ત્યારે સ્ત્રી અવિશ્વસનીય છે તેવું માનવાનું ટાળી શકાય. લગ્નવ્યવસ્થાને લીધે સ્ત્રી પાસે કોઈ ચૉઈસ ના રહી હોય અને લગ્ન પછી કોઈ હાઈ-ટૅસ્ટાસ્ટરોન લેવલ ધરાવતા કોઈ પુરુષના સંપર્કમાં આવી જવાય અને જો ઇવલૂશનરી ફૉર્સના દબાણમાં આવી લગ્નેતર સંબંધ બંધાઈ જવાની તૈયારી થઈ ગઈ હોય તેવામાં સમજ આવી જાય કે આ તો ઇવલૂશનરી ફૉર્સ દબાણ કરી રહ્યો છે. ચેતો ભાઈ, બચો !! તો બચી શકાય અને લગ્નજીવન તૂટતું બચી જાય. સમજી લેવાય કે આવું આકર્ષણ એ ફક્ત કૉપિ પાછળ મૂકી જવાનું એક ઉત્ક્રાંતિનું જેનિસમાં રહેલું દબાણ માત્ર છે અને બાળકો તો છે જ અને આરામથી મોટા થઈ રહ્યા છે, હવે કોઈ પ્રયોજન નથી, ઉત્ક્રાંતિનો ક્રમતો સચવાઈ ગયો છે. તો એવા  આકર્ષણમાં ખેંચાઈ જવાનું કોઈ કારણ નથી તો બચી શકાય. મોટા ભાગે સ્ત્રીઓ પર અવિશ્વાસ એમના ઉપર જુલમનું કારણ બનતો હોય છે. ઇવલૂશનની હિસ્ટરીમાં સ્ત્રી માઇલ્ડ પ્રામિસ્ક્યૂઅસ રહી છે. આ અવિશ્વાસ રાખવાનું હવે મનૉગમસ સમાજમાં કોઈ કારણ નથી. પુરુષ તો ૧૦૦ ટકા પ્રામિસ્ક્યૂઅસ છે, સ્ત્રી માઇલ્ડ પ્રામિસ્ક્યૂઅસ રહી છે. આ બધા ઇવલૂશનરી ફૉર્સ સમજી લેવાય તો કજિયાકંકાસ,  મારઝૂડ અને ઝગડાથી બચી શકાય. જે પુરુષોમાં ટૅસ્ટાસ્ટરોન લેવલ હાઈ હોય તે આક્રમક રહેવાના. અને સ્ત્રી હાઈ-ટૅસ્ટાસ્ટરોન લેવલ ધરાવતા પુરુષને પ્રથમ પસંદ કરતી હોય તે સ્વભાવિક છે, હવે બંને જણા આ વાત સમજતા હોય કે હાઈ-ટૅસ્ટાસ્ટરોન લેવલ અગ્રેસિવનેસ લાવે છે તો એનાથી બચી શકાય કે નહિ? રોગનું નિદાન જ દવા બની જાય.

કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મમતા, સુખ, દુખ અને ભય જેવી લાગણીઓ કુદરત સ્વાભાવિક મૂકે છે. એમાં એનો હેતુ ઉત્ક્રાંતિનો છે. પણ એના ફૉર્સ સમજીએ તો એના દુષ્પરિણામો નિવારી શકાય. માટે મેં સીધા દાખલા આપીને પુસ્તકનો મુખ્ય હેતુ બતાવી દીધો છે. સુખ અને દુઃખ ન્યુરોકેમિકલ્સ આધારિત હોય છે. એના ચડાવ ઉતાર સમજી શકીએ તો ડિપ્રેશન દુર ભાગે. પ્રાચીન મનીષીઓએ એમના અનુભવો દ્વારા એમના ચિંતન દ્વારા તત્વજ્ઞાન ઘણું દર્શાવ્યું છે ભલે તેઓ આધુનિક ન્યુઅરો સાયન્સ અને બાયોલોજિથી અજ્ઞાન હતા.. આ પુસ્તકને એક રીતે રાસાયણિક ગીતા સમજવી હોય તો સમજી શકો છો.. માનવ સ્વભાવના જટિલ સત્યો વિષે જે આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે તે કોઈ અરાજકતા ફેલાવવા માટે નહિ. જે સંસ્કાર ઉત્ક્રાંન્તિના ક્રમમાં જીનમાં મળ્યા છે તે હાલની સમાજ વ્યવસ્થા માટે કોઈ વાર જોખમી બની જતા હોય છે. તો એની સમજ હોય કે આ તો ઇવલૂશનરી ફૉર્સ ખેંચી રહ્યો છે તો એના દબાણથી મુક્ત થઈ શકાય.

હ્યુમન બિહેવ્યર પાછળની સાયકોલોજી વિષે તો આધુનિક મનોવૈજ્ઞાનિકો અને સાયકાયટ્રીસ્ટ લખતા જ હોય છે પણ આ બધાની પાછળની બાયોલોજી વિષે આ પુસ્તકમાં ઘણું લખાયું છે તે ઘેર બેઠા મેળવીને વાંચવું હોય તો અહી ક્લિક કરો.. ધૂમખરીદી.કોમ

મૂળ ઉખડ્યાની પીડા

મૂળ ઉખડ્યાની પીડા

IRHandler“અહીં આવ્યા પછી આપણા દેશના લોકોને મળીને અનુભવ્યું કે પેટ્રીઓટીઝમ-દેશભક્તિ અહીંના લોકોમાં આપણા દેશમાં રહેનારા લોકો કરતા વધુ જણાય છે,” આવા મતલબનું ૪૦ વર્ષથી ગુજરાત સમાચાર માં ‘બુધવારની બપોર’ લખતા અશોકભાઈ દવે અહીંના સ્થાનિક રેડીઓ જીંદગી ઉપર એક બહુ સારા આર જે સંજીવ સાથે વાતચીતમાં આ ગુરૂવારે ત્રીજી એપ્રિલ નાં રોજ સાંજે કહેતા હતા. જાણીતા ગુજરાતી હાસ્ય લેખક અશોક દવે આજકાલ અમેરિકામાં છે, ખાસ તો અમેરીકામાનું ગુજરાત ગણાતા ન્યુ જર્સીમાં.

સર્વાઈવલ માટે જે દેશની ધરતીમાં થી જીવન રસના ધાવણ ધાવ્યા હોઇએ  તે દેશના મુળિયા એકદમ કઈ રીતે ભૂલવા ? મેમલ પ્રાણીનો એક ગુણ હોય છે એનો વિસ્તાર બદલાય તો ભાગ્યે જ એડજસ્ટ થાય, ખલાસ થઈ જાય. પણ માનવી એવું મેમલ છે જે વિસ્તાર બદલાય તો પણ ગમે તે રીતે એડજસ્ટ થઈ જતું હોય છે. ઊલટાનું સર્વાઈવલ માટે વિસ્તાર પ્રદેશ બધું બદલી નાખે છે. એવું ના હોત તો હજુ આપણે આફ્રિકા માં વૃક્ષો ઉપર હૂપાહૂપ કરતા હોત.. હહાહાહાહાહા !

પણ આ મુળિયાની જમીન બદલવી બહુ પીડા દાયક હોય છે. છોડને એક કુંડા માંથી ઉખેડી બીજા કુંડામાં નાખો ત્યારે અમુક મૂળ તૂટીને જુના કુંડામાં રહી જતા હોય છે તેની યાદ બહુ વસમી હોય છે. એટલે આજે પણ માંડવી ની પોલ અમદાવાદના એક બહેન ન્યુ જર્સીમાં ગ્રોસરી ભેગું ગુજરાત સમાચાર ખરીદી લઈ જતા હોય છે અને પોતે વાતોડિયણ હોવાના લીધે ઘેર જતા મોડું થયું હોય છે માટે પતિદેવ પૂછે કે કેમ મોડું થયું તે પહેલા બુધવારની બપોર ખોલી કોફી ટેબલ પર મુકીને ચુપચાપ ફ્રીજમાં શાકભાજી ગોઠવવા લાગે છે જેથી પતિદેવ સીધા પેલી બપોર વાંચવા બેસી જાય ને કોઈ સવાલ કરે જ નહિ. અશોક દવેના રેડીઓ પરના ચાલુ ઈન્ટર્વ્યુ એ ફોન કરી એમની સાથે વાત કરવાની છૂટ હતી તેનો લાભ એ બહેને એવો લીધો એવો લીધો કે મારો ફોન લાગ્યો જ નહિ. એમનું વાતોડિયણ હોવાની આમ સાબિત પણ થઈ ગયું. અશોકભાઈ પણ ખાડિયાના નીકળ્યા પછી પૂછવું જ શું? વાતે વાતે તેલના ડબલાં ને વેલણ ખખડાવતા સરઘસો કાઢતા અશોક ભટ્ટ એમના મહાપરાક્રમી ભૂષણ વગેરેનો નામોલ્લેખ પણ થઈ ગયો. સ્ત્રી એની સાચી ઉંમર કદી કહે નહિ તેવી લોકવાયકા છે પણ અહીં તો આ બહેન બે વાર પોતે ચોપ્પનના છે તેવું લાગણીવશ ભૂલમાં બોલી ગયા. એવું લાગ્યું એમનું જીવન બુધવારની બપોરને લીધે જ ટકી રહ્યું છે. આ છે પેલી મૂળ ઉખડ્યાની પીડા. એમની પીડા મારી પીડા છે, બલકે દરેક વિદેશમાં રહેતા ભારતીય ની પણ એજ પીડા છે.

આ હાસ્યરસ ઉપજાવતા મહાનુભાવો વિષે એક રહસ્યમય વાત કહું છું. ઉત્ક્રાન્તિના મનોવિજ્ઞાન જેને ઇવલૂશનરી સાયકોલોજી કહે છે તે પ્રમાણે સારી હ્યુમર સેન્સ હોવી તેને મેટિંગ ઈન્ટેલીજન્સ કહે છે. કવિઓ, લેખકો, ચિત્રકાર, સંગીતકાર આ બધા વિશિષ્ટ ગુણ ધરાવતા માણસો હોય છે. બધા લેખક કે કવિ કે ચિત્રકાર બની શકે નહિ. આવા લોકો સારા જિન્સ ધરાવે છે તેવું ઈન્ડીકેટ એમની કલા દ્વારા થતું હોય છે. આ બધી ક્ષમતાઓ જેમાં સારી હ્યુમર સેન્સ પણ આવી જાય તેને મેટિંગ ઈન્ટેલીજન્સ કહેવાય છે. આમ આવી ક્ષમતા ધરાવનારા સ્ત્રીઓના ખાસ પ્રીતિપાત્ર હોય છે. ગોખેલા જોક્સ ફેકમફેક કરીને સારી હ્યુમર સેન્સ છે તેવું જતાવી શકાય નહિ. સામાન્ય સહજ વાતોમાંથી સરસ હ્યુમર પેદા કરી શકે તે જ ખરો. એટલે જે મહિલાઓના ધર્મપતિ હાસ્યલેખક હોય તેવી મહિલાઓએ ખાસ ચેતવા જેવું. કારણ હકી બેન બાજુમાં બેઠા હોય છતાં કોઈ બકીબેન દુરથી તારામૈત્રક રચવાનો ટ્રાય આવા હાસ્યલેખક સાથે કરતા હોઈ શકે. એમાં હ્યુમરીસ્ટ નો કોઈ વાંક નાં હોય.. અમારા ન્યુ જર્સીના હરનીશભાઈ જાની પણ બહુ સારા હાસ્યલેખક છે. અશોક દવે, રજનીશ, હરનીશ બધા અહર્નિશ હસાવે રાખવાની કલામાં પાવરધા છે. મેં થોડા હાસ્ય લેખ લખ્યા છે. આ બ્લોગમાં મુકેલા પણ છે. છતાં અશોકભાઈ  જે સતત ૪૦ વરસથી હાસ્ય પીરસવાની ક્ષમતા ધરાવે છે તે અદ્ભુત કહેવાય આપણું તે કામ નહિ. એટલે થોડા હાસ્યાસ્પદ હાસ્ય લેખો લખીને હું મૂળ મારા ખંડનાત્મક લેખો લખવા તરફ વળી ગયેલો. કારણ મૂળ અમારા બાપદાદા નો અસલી બિજનેસ તલવારો ચલાવવાનો રહેલો એટલે હવે તલવારો નહિ પણ કલમ વડે જનોઈવઢ ઘા કરવાનું વધુ ફાવે. હહાહાહા

એક યુવાનનો ફોન આવ્યો કે હું તો બુધવારની બપોર વાંચતો નથી પણ મારા પપ્પા નિયમિત વાંચે છે. બાપ ની મૂળ ઉખડ્યાની પીડા નો અહેસાસ યુવાન પુત્રને પણ છે તેથી તો એણે ફોન કર્યો. ખેર ! આના થોડા દિવસ પહેલા અંકિત ત્રિવેદી નો ઈન્ટર્વ્યુ હતો. અંકિત ત્રિવેદી પણ આજકાલ અમેરિકામાં બહુ મોટો કાફલો લઈને આવેલા હોવાથી અહીં છે. ગીત સંગીત અને કવિતાઓ વિશે નો બહુ મોટો જલસો આખા અમેરિકામાં ઠેર ઠેર કરવાના છે. શુક્રવારે વળી ગુજરાતી રંગભૂમિ, ફિલ્મો અને ટીવી સીરીયલોના મહારથી એવા અરવિંદ વૈદ્ય સાહેબ નો ઈન્ટર્વ્યુ હતો. એમના અભિનય વિષે કહેવું એટલે સૂરજ સામે બૅટરી મારવી એવું લાગે. અરવિંદ ભાઈ વૈદ્ય કોઈ નાટક લઈને આવેલા છે. એ તો એટલા લાગણીવશ હતા કે અહીં પારકા દેશમાં કોઈ ગુજરાતી મળે ને વાતો કરે તો મજા પડી જાય બહુ મજા પડી જાય શબ્દો અવારનવાર બોલતા હતા. અભિનયના મહારથી શબ્દોનાં પણ મહારથી હોય તે સ્વાભાવિક છે પણ ઘણીવાર લાગણીઓ માં તરવા લાગીએ ત્યારે શબ્દો સુજતા નથી.untitled

સમર આવે એટલે અહીં બોલીવુડના ગાયકો પણ ઉમટી પડતા હોય છે. ધર્મગુરુઓ અને સંપ્રદાયોના વડાઓ પણ તૂટી પડતા હોય છે. ફરક એટલો છે કે પેલા ઊખડેલ મૂળિયાની પીડા જે ભારતીયો અનુભવતાં હોય છે એની ધર્મગુરુઓ અને ફિલ્મી ગાયકો રોકડી કરી લેતા હોય છે જ્યારે સાહિત્યકારો અને કલાકારો એના પર મલમ લગાવી  જતા હોય છે. જવા આવવાનો ખર્ચ કાઢે એમાં કશું ખોટું પણ નથી..

લગ્નસંસ્થા વગરની સંસ્કૃતિ

 mosuoલગ્નસંસ્થા વગરની સંસ્કૃતિ.

હમણાં એક મિત્રે સરસ જોક જેવી પોસ્ટ મૂકેલી, એનો ભાવાર્થ એવો હતો કે અમુક સંતાન ભવિષ્યમાં એના માબાપને કહેશે કે મારે સ્કૂલમાં એડમીશન જોઈએ છે તો લગ્ન કરી લો સ્કૂલમાં તમારા લગ્ન સર્ટીફીકેટ માંગે છે. એમના જોક પાછળ લીવ ઇન રિલેશનશીપ કોન્સેપ્ટની મજાક અને એની પાછળ સંતાનો માટેની થોડી વ્યથા પણ દેખાઈ. લગ્નસંસ્થા તૂટી જશે તો બાળકોનું કોણ એવો પ્રશ્ન સતાવતો હશે. લગ્નસંસ્થા ધીમે ધીમે ઉદય પામી છે તે હકીકત છે. માનવ પેદા થયો સાથે લગ્નસંસ્થા લઈને પેદા નથી થયો. પ્રાણીઓ આજે પણ આવી કોઈ વ્યવસ્થા વગર જીવે છે, બાળકો પેદા કરે જ છે. પણ પશુઓ કરતા આપણે મોટું બ્રેન ધરાવીએ છીએ એટલા પૂરતા પશુઓ કરતા થોડા જુદા તો છીએ જ. લાખો વર્ષ માનવોએ પણ લગ્નસંસ્થા વગર ચલાવ્યું જ છે. એના પુરાવા આજે પણ જીવતા છે જ. તો થોડા હજારો વર્ષ જૂની લગ્નસંસ્થા તૂટી પડશે તો સંસ્કૃતિ માથે કે લાખો વર્ષથી સર્વાઇવ થતા માનવો માથે કોઈ આભ તૂટી પડવાનું નથી. કોઈપણ વિચારધારા, કોન્સેપ્ટ કે વ્યવસ્થાને બ્લેક એન્ડ વ્હાઈટમાં જોઈએ તે મારા મતે મુર્ખામી છે. લગ્નસંસ્થા અસ્તિત્વમાં આવેલી જ છે તો એનાય ફાયદા તો હોય જ. એમ જ ઉપરથી ટપકેલ તો છે નહિ. અને વિલુપ્ત થઈ જશે તો એનાય કોઈ ગેરફાયદા હશે કારણ ઉપરથી ટપકેલ તો છે નહિ. શ્વાસ લઈએ છીએ તે ઉપરથી ટપકેલ છે, એ ના લઈએ તો ઉપર પહોચી જવાય.

કોઈપણ સજીવ હોય સર્વાઈવલ એનો મુખ્ય ધર્મ હોય. અને આગળના સર્વાઈવલ માટે એના જિન્સ જીવતા રાખવા તે જિન્સ નવી પેઢી માં ટ્રાન્સફર કરવા પડે. મતલબ સંતાન પેદા કરો તો જ તમારી જિનેટિક સાઇકલ આગળ વધે. એટલે હવા, પાણી અને ખોરાક જેવી બેસિક નીડ વગર ચાલે નહિ તેમ સ્ત્રી-પુરુષ ને ભેગા મળીને સંતાન પેદા કરવાની તીવ્ર ઝંખના જન્મજાત હોય છે. વળી સંતાન પેદા કર્યા પછી જીવે નહિ તો ઉત્ક્રાંતિનો હેતુ સરે નહિ. અને માનવ બાળ બીજા પ્રાણીઓના બચ્ચા ની જેમ બે ચાર કલાકમાં ઊભું થઈ દોડવા માંડતું નથી, તે સાવ કમજોર હોય છે. એને ઘણા વર્ષો સાચવવું પડતું હોય છે. હવે એમાં સ્ત્રી અને પુરુષ બંનેના જિન્સ ભેગા હોય છે માટે તે સાચવવા ની જવાબદારી બંનેની થઈ જતી હોય છે. માટે બંનેને સાથે વર્ષો લગી તે જવાબદારી નિભાવવા જોડે રહેવું જરૂરી થઈ પડતું હોય છે. આ જરૂરિયાતે ધીમે ધીમે લગ્ન સંસ્થા વિકસિત થઈ છે. લગ્ન સંસ્થા કોઈ લાખો વર્ષ જૂની છે નહિ. થોડાક હજારો વર્ષ જૂની છે. માનવ લગભગ ૨૫-૩૦ લાખ વર્ષથી ઉત્ક્રાંતિ પામ્યો છે. ૧૦-૧૫ હજાર વર્ષ પહેલા આખી દુનિયાના સમાજ હન્ટર-ગેધરર હતા. ગૃપમાં કે બેન્ડમાં રહેતા લોકોને બાળકો પેદા થાય તે આખા સમૂહની જવાબદારી ગણાતી. આમ માબાપ અકસ્માતે મૃત્યુ પામે તો પણ કોઈ વાંધો આવે નહિ બાળકને સમૂહ મોટું કરી જ લે. એક જાતનો 450px-Mosuo_woman_near_Lugu_Lakeસમાજવાદ જ થયો ને?

પતિ કે પત્ની બે માંથી એક પાત્ર બાળકને મોટું કરવાની જવાબદારી માંથી છટકી ને કોઈ બીજા પાત્ર સાથે ગોઠવાઈ નાં જાય ખાસ તો સ્ત્રીઓ માટે લગ્નવિધિ આવી. કે ભાઈ વિધિવત કરાર થયો છે હવે કોઈ છટકે નહિ આખી જીંદગી ભેગા રહેવાનું અને બાળકો મોટા કરવાના. એટલે પહેલા જ્યારે બર્થ કંટ્રોલ હતા નહિ અને દર બે ચાર વર્ષે બાળકો જોડે રહેવા થી સ્વાભાવિક પેદા થયે જતા ત્યાં વધુ ને વધુ વર્ષો જોડે રહેવાનું જરૂરી બની જતું ત્યારે ડિવોર્સના પ્રમાણ બહુ ઓછા હતા કે લગભગ હતા જ નહિ. બીજા ધર્મો માં લગ્ન એક કરાર છે તેવું કહીએ છીએ પણ આપણા ત્યાં આવા કરારને સપ્તપદીના વચનો જેવું રૂપાળું નામ આપી દીધું છે. વચનો મૌખિક કરાર તરીકે આપી એ અને કરારમાં લેખિત વચન આપી એ લઇએ બધું સરખું છે.

લીવ ઇન રિલેશનશિપ નવી તરાહના લગ્ન જ કહેવાય. થોડો મુક્ત શ્વાસ લઇ શકાય તેવા પ્રકારના પણ લગ્ન જ કહેવાય. એમાંય જોડે તો રહેવાનું જ છે, પણ નાં ફાવે તો બહુ કોઈ મોટી કાયદાકિય લડાઈ ની માથાકૂટ માં પડ્યા વગર છુટા થઈ શકાય. આપણે ત્યાં પણ સમર્થ લોકો એક કરતા વધારે સ્ત્રીઓ રાખતા ત્યારે પહેલી સ્ત્રી જોડે વિધિ વગેરે કરતા બાકી તો એમ જ વિધિ કર્યા વગર ઘરમાં ઘાલી દેતાં.. આ એક જાતનું લીવ ઇન રિલેશનશિપ જ હતું. ઘણી જગ્યાએ સ્ત્રી પાણી ભરેલું બેડું લઈને પેલા પુરુષના ઘેર આવતી તે પુરુષ બેડું ઉતારી તે સ્ત્રીને ઘરમાં લઈ લેતો, જોડે રહેવાનું શરુ. એક પુરુષ લગ્નવિધિ કરીને કે કર્યા વગર એક કરતા વધુ સ્ત્રીઓ ઘરમાં રાખતો તે પોલીગમી જ કહેવાય. આપણા દેશમાં હાલની આદર્શ ગણાતી મનોગમસ એક જ પતિ કે પત્ની હોય એવી લગ્ન સંસ્થા કાયદા વડે હમણાં આઝાદી વખતે જ અસ્તિત્વમાં આવી છે. બાકી આપણે ત્યાં પુરુષો ને લાભદાયી એક તરફી પોલીગમસ લગ્ન સંસ્થા જ ચાલતી હતી હવે તેને પવિત્ર કે મહાન ગણવી તે આપણા હાથની વાત છે. જો કે હાલના ઝાર ખંડ જેવા વિસ્તારોમાં બહુ પતિ રાખી શકાય તેવી કોમો હતી અને હજુ આજે પણ છે. એક જ પતિ કે પત્ની હોય તેવી મનોગમસ લગ્ન સંસ્થા ગ્રીક લોકોની દેન છે. બાકી મજબૂરીમાં પોસવાની તાકાત નાં હોય અને એક જ સ્ત્રી રાખો તે અલગ વાત છે.

પશ્ચિમમાં લીવ ઇન રિલેશનશિપ છે તો બાળકો પોસવાની પણ જવાબદારી કાયદાકિય રીતે બંનેની હોય છે, એમાં કોઈ બાંધછોડ ચાલે નહિ. ભલે છુટા થઈ ગયા હોય પણ પુરૂષે કમાઈ કમાઈને કોર્ટમાં બાળકનું ભરણપોષણ ભરવું પડતું હોય છે. એક દિવસ મોડું થાય તો સીધો જેલમાં. એટલે જેમ લગ્ન સંસ્થા ધીમે ધીમે ઉત્ક્રાંતિ પામી છે તેમ એમાં ધીમે ધીમે બદલાવ પણ આવવાનો છે. પરિવર્તન સ્વીકાર્યા વગર છૂટકો પણ નથી. બંધિયાર પાણી ગંધાય તેમ પરિવર્તનની શક્યતા ઓ વગરની કોઈ પણ સંસ્થા લાંબે ગાળે ગંધાય તેમાં કોઈ શક નહિ. લગ્નવ્યવસ્થાને બહાને આપણે સદીઓથી સ્ત્રીનું શોષણ જ કરે રાખ્યું છે. લગ્ન વ્યવસ્થા નાં હોય તો સ્ત્રી પામવા રોજ રોજ તાકતવર છીએ તેવી પરીક્ષા આપવાનું પોસાય નહિ. લગ્નવ્યવસ્થાને બહાને એકવાર સ્ત્રી મળી ગઈ પછી રોજ રોજ પરીક્ષા આપવાની ઝંઝટ મટી ગઈ મન ફાવે ત્યારે સેક્સ સેક્સ રમી શકાય. હવે જ્યારે સ્ત્રી કમાતી થઈ છે પુરુષ ની જોહુકમી સહન કરે તેવી રહી નથી અને છૂટી થવા માંડી છે એટલે હજારો વર્ષથી સ્ત્રીનું શોષણ કરતા પુરુષો ને ધ્રાસકો પડ્યો છે.

images-=-=0લગ્નવ્યવસ્થાને લીધે સૌથી મોટો ફાયદો બાળકોને છે. રોજ રોજ તુટતા અને બંધાતા આધુનિક લગ્નોને લીધે સૌથી મોટો ગેરફાયદો બાળકોને એમાં પણ ખાસ પુત્રીઓને થતો હોય છે. લોહીનો સંબંધ નાં હોય તેવા પર પુરુષ જેવા કે ઓરમાન પિતા કે માતાના બોય ફ્રેન્ડની ઘરમાં સતત હાજરીને નાની છોકરીનું બ્રેન નોટીસ કરતું હોય છે અને એના લીધે તે બિન જરૂરી વહેલી પુખ્ત બની જતી હોય છે. સ્ટેપ ફાધરના જાતીય શોષણ નો ભોગ પણ બની જતી હોય છે. પશ્ચિમમાં સ્ત્રીને સ્વતંત્રતાની કિંમત સિંગલ મધર બનીને ચૂકવવી પડતી હોય છે. લગ્ન કરીને, લગ્ન વિચ્છેદ કરીને, બહુપત્નીઓમાની એક પત્ની બનીને કે બહુપતિઓની એક પત્ની બનીને છેવટે સ્ત્રીને જ શોષાવું પડતું હોય છે.

ચાલો એક એવી સંસ્કૃતિના દર્શન કરાવું જ્યાં લગ્ન વ્યવસ્થા છે નહિ છતાં પરિવાર છે અને બાળકો આરામથી મોટા થાય છે. વળી આ સંસ્કૃતિ કોઈ જંગલમાં રહેતી નથી. સાઉથ વેસ્ટ ચીનના યુનાન અને સિચુઆન પ્રાંત માં વસતા મોસુઓ(Mosuo)અથવા મોસો લોકો એક વિશિષ્ટ માનવ વંશ છે. વસ્તીમાં સાવ ઓછા લગભગ આશરે ૪૦,૦૦૦ જેટલા મોસુઓ હિમાલયમાં સારી એવી ઊંચાઈએ આવેલા Yongning વિસ્તારમાં Lugu Lake ની આસપાસ રહે છે. આ સમાજ માતૃ પ્રધાન સમાજ છે. અહીં કોઈ લગ્ન કરતું નથી. અહીં બાળક પેદા કરનાર પિતા ભેગો રહેતો નથી કે નથી બાળકને મોટું કરવામાં સહકાર આપતો. અહીં સ્ત્રી પુરુષ ભલે ભેગા સૂઈ જાય પણ બંને જોડે રહેતા નથી. પશ્ચિમના લોકો આને ‘walking marriage’ કહે છે. અહીં છોકરી જાતીય રીતે પુખ્ત થાય એટલે એને અલગ બેડ રૂમ મળે છે. તે છોકરી એને ગમતા પુરુષ ને આમંત્રણ આપે છે જે રાત્રે આવીને એના બેડરુમમાં રાત ગાળે છે. સવાર પડતા પોતાના ઘેર જતો રહે છે. એના લીધે બાળક પેદા થાય તો એની કોઈ જવાબદારી નથી હોતી. બાળકને માતા અને તેના ભાઈઓ-બહેનો દ્વારા મોટું કરવામાં આવે છે. બસ એવી જ રીતે કહેવાતો પિતા પણ એના પોતાના ઘરમાં એની ઘરની સ્ત્રીઓના બાળકો મોટા કરવામાં સહકાર આપતો જ હોય છે. બાળકનો પિતા કોણ છે તેની ઘરમાં મોટા હોય તે બધાને ખબર હોય છે. બાળકોને ખબર નાં પણ હોય. વારે તહેવારે બાળકના પિતાને ઉત્સવમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવે છે. પિતા બાળકો માટે ગીફ્ટ પણ લાવતો હોય છે.

આમ મોસુઓ પુરુષ પોતાના બાળકના ઉછેરમાં સહકાર ભલે નાં આપે પણ સામે પોતાની બહેનના બાળકો ઉછેરતો જ હોય છે. અહીં જુદા જુદા પુરુષો ને રાત્રે આમંત્રણ આપવાની છૂટ હોય છે પણ મોટા ભાગે મોસુઓ સ્ત્રીઓ આખી જીંદગી એક જ પાર્ટનર ને પકડી રાખતી હોય છે. ચાલો કોઈ સ્ત્રી નવો પુરુષ પસંદ કરે, પાર્ટનર ભલે બદલે પણ એની હાજરી સતત ઘરમાં દિવસે તો હોય જ નહિ. એટલે લોહીનો સંબંધ નાં હોય તેવા પુરુષ ની હાજરી ઘરમાં હોય જ નહિ. એટલે લોહીનો સંબંધ નાં હોય તેવા પુરુષ જેવા કે સ્ટેપ ફાધર કે માતાના બોય ફ્રેન્ડની સતત હાજરીને લીધે જે નાની દીકરીઓ પશ્ચિમના સમાજમાં જલદી પુખ્ત બની જતી હોય છે તેવું અહીં બનતું નથી. અહીં ઘરમાં જે પુરુષ હાજર હોય છે તે માતાનો ભાઈ જ હોય છે. એટલે એની હાજરીની કોઈ અવળી મનોવૈજ્ઞાનિક અસર પડતી નથી. મોસુઓ બહુ મોટા બહોળા ફેમિલીમાં રહેતા હોય છે. કોઈના પ્રાઇવેટ બેડ રૂમ હોતા નથી. છોકરી પુખ્ત થાય એટલે એને અલગ બેડ રૂમ આપવામાં આવે છે. મોટા ભાગની મોસુઓ સ્ત્રીઓ એક પુરુષ ને આખી જીંદગી પકડી રાખતી હોય છે છતાં તેને સ્ત્રીના ઘરમાં રહેવાની છૂટ હોતી નથી કે સ્ત્રીના ફેમિલીનો હિસ્સો પણ ગણાતો નથી. દીકરીઓ ને વળાવતી વખતે આપણા સમાજમાં જે વેદના માતાઓ વેઠતી હોય છે તે અહીં મોસુઓ માતાને વેઠવી પડતી નથી.images089

પતિ-પત્ની જેવો સંબંધ જ અહીં નથી એટલે એવા જોડલાએ સાથે રહેવાનું પણ નથી હોતું એટલે અહીં સિંગલ ફેમિલી કે વિભક્ત કુટુંબ જેવો કોન્સેપ્ટ જ નથી અહીં તો સંયુક્ત સંયુક્ત કુટુંબો જ છે તે પણ બહુ મોટી સંખ્યા ધરાવતા. લગ્ન વ્યવસ્થા વગર પણ બહુ મોટા બહોળા પરિવાર જોવા હોય તો ચાલો ચીન Yongning region Lugu Lake high in the Himalayas…