
હું છું, મારા Genes.
કેરિયર કાઉન્સેલર Paula Wishart ( Ann Arbor , Michigan ) ને ૪૦ વર્ષે એક રહસ્ય જાણવા મળ્યું કે એના જિન્સમાં Lynch Syndrome વસી રહ્યો છે. કોલોન કેન્સર માટે જવાબદાર આ જીનેટીક્સ મ્યુટેશન વારસાગત લોહીમાં ઊતરતું હોય છે. સ્ત્રીઓમાં ગર્ભાશયનું કેન્સર પણ આને કારણે થતું હોય છે. આ મહિલાના દાદા અને પરદાદા પણ કોલોન કેન્સરના કારણે મૃત્યુ પામેલા તો ઘરમાં એવી વાયકા ચાલતી કે ફૅમિલીમાં કોઈ ખરાબ લોહી વહી રહ્યું છે.
Lynch Syndrome કાતરિયામાં છુપાયેલા ખૂની દરિન્દા જેવો છે જે ડઝન જુદા જુદા રસ્તે મારી શકે છે. આ રોગ માટે ટેસ્ટ શરુ થયા છે તેવું જાણ્યા પછી પણ આ મહિલાની કાકીએ એની ઉપેક્ષા કરેલી. એની કાકી કોલોન કેન્સરમાં ગઈ, થોડા સમય પછી તેની દીકરી, અને પછી દીકરો પણ ગયો. Wishart પોતે જાણવા માટે ડરતી હતી પણ વધુ ડરતી હતી ના જાણવા વિષે. રોગ છે તેવું જાણવું પણ ઘણાને ગમતું હોતું નથી. ડર લાગતો હોય છે. મારા એક સગા ખૂબ દૂબળા પડી ગયેલા અને સાવ કમજોર થઈ ગયેલા, પણ એમને ડર લાગતો કે ડૉક્ટર ટીબી છે તેવી નિદાન કરી દેશે તો? એટલે ડૉક્ટર પાસે જતા નહિ. વિશાર્તની માતાનો ટેસ્ટ પોજીટીવ આવ્યો હતો, એ અને તેનો ભાઈ પણ નસીબદાર નહોતા.
થોડા સમય પહેલા આપણે વિનાશક જીવલેણ મજબૂરીઓ વિષે જાણતા નહોતા. એટલે બધું ભગવાનના હાથમાં હતું. પછી ડોકટરો ભગવાનની જગ્યા લેવા લાગ્યા. જીવલેણ કમજોરીઓ વિષે આ લોકો જાણવા લાગ્યા હતા. હવે genomics ક્રાંતિએ આખી રમત ફરીથી બદલી નાખી છે. રોગોની માહિતી વિષે શુભ અને અશુભ ગૂંચવાડો ઊભો થઈ ગયો છે. જીનેટીક્સ ટેસ્ટ રોગોની આગોતરી જાણકારી વિષે મહત્વનું કામ કરે છે. જીવલેણ રોગો માટે કોઈ એક જિન્સ કારણભૂત હોતો નથી. એ ઘણા બધા જિન્સની ક્રિકેટ મેચ જેવું છે. જે હજુ વૈજ્ઞાનિકો માટે સમજવું અઘરું છે. જો કે આગોતરી જાણકારી લાભદાયી હોય છે. પેટ સ્કેન વડે Alzheimer રોગ વિષે અગાઉથી પેશન્ટમાં એના કોઈ લક્ષણ નાં દેખાય છતાં જાણી શકાય છે.
પણ આવી આગોતરી જાણકારી ઝેરી બની જતી હોય છે. અગાઉથી જિન્સ ચેક કરાવી પોતાના મોતની જાણકારી સાથે જીવવું શું યોગ્ય છે? કે આવી આગોતરી માહિતી ખુદ જીવલેણ નથી લાગતી? એક સ્ત્રીનું કહેવું હતું કે ” હું જાણું છું કે મને સ્તન કેન્સર છે અને તેનું કારણ Alpha-1 મ્યુટેશન છે, પણ ભગવાને આ જિન્સ મને જ કેમ આપ્યા? ભગવાને હું સંભાળી ના શકું તેવા જિન્સ મને શું કામ આપ્યા?”
આપણે ખરાબ ઘટનાઓના કારણો વિષે જાણવા ઉત્સુક હોઈએ છીએ. આપણે જાણવા માંગતા હોઈએ છીએ કે આ કરુણ ઘટનાનું કારણ શું? અને એના માટે કોને જવાબદાર ગણવા? જીનેટીક્સ ટેસ્ટ તમને તેના છુપા બાયોલોજીકલ પ્રોસેસની જાણકારી આપે છે. જોકે ખાનપાન,રહેણીકરણી, આબોહવા, વાતાવરણ, ટેવો આ બધું પણ જીવલેણ રોગો માટે જવાબદાર હોય છે. સાથે સાથે વારસામાં મળેલા જિન્સ અને જિન્સમાં થતા મ્યુટેશન પણ જવાબદાર હોય છે.
મારા એક કાકાશ્રી પોલીસખાતામાં હતા. રિટાયર થયા ત્યારે ડી.વાય.એસ.પી. હતા. બેઠી દડીના, વીંછીનાં આંકડા જેવી મૂછો રાખતા. સ્મોકિંગ કરતા, નિયમિત ડ્રીંક કરતા. બહારગામ જવાનું હોય તો એમની બેગમાં ડ્રીંક લઈને જતા. પણ મેં ક્યારેય સાંભળ્યું નથી કે એમને કોઈ ગંભીર બીમારીમાં દવાખાને દાખલ કર્યા હોય. આશરે ૮૫ વર્ષે તંદુરસ્ત હાલતમાં અચાનક ગુજરી ગયેલા. લાંબા આયુષ્ય માટે કારણભૂત જિન્સ છે FOXO3A વાંચો અહીં Flachsbart et al. 2009 અને 2008 .. અને સ્ત્રીઓના લાંબા આયુષ્ય માટે કારણભૂત છે જિન્સ FOXO1A.
Telomeres જિન્સના છેડા ઉપર બેસાડેલી કેપ સમજો. આ કેપ નાની હોય તો જિન્સ ડેમેજ થવાના ચાન્સ વધી જતા હોય છે. આ કેપ ટૂંકી અને ઘસાયેલી હોય એટલાં રોગ વધુ થવાના. બાળકોના જિન્સ ઉપરના telomeres ચેક કરીને જાણી શકાય છે કે બાળકો મોટા થઈને અમુક રોગો સાથે તણાવયુક્ત થઈને આક્રમક હિંસક વલણ ધરાવશે. બાળકોમાં આ telomeres ઘસાઈને ટૂંકા હોવાનું કારણ જણાયું છે મોટાઓ દ્વારા થતી શારીરિક સતામણી, શારીરિક સજા, બે કરતા વધુ હિંસક બનાવનો અનુભવ, સતત મળતી ધમકી. આ telomeres ઘસાઈ જવાનું બીજું કારણ હોય છે નબળો પ્રદૂષિત ખોરાક, કસરતનો અભાવ, સ્મોકિંગ, વિટામિન D ની ખામી, રેડીએશન, ડાયાબીટીસ જેવા રોગો. બસ તો બાળકોને સતત ધમકાવશો નહિ, શારીરિક સજા કરવી નહિ અને સ્કૂલ કે બહાર કોઈ સતત ડરાવતું નાં હોય તેનું ધ્યાન રાખવું. Dean Ornish અને એના સાથીઓ દ્વારા ૨૦૦૮ માં થયેલા એક પાયલોટ અભ્યાસ મુજબ હેલ્ધી ખોરાક, તનાવમુક્ત જીવનશૈલી તમારા telomeres ની લંબાઈ વધારીને સારું જીવન અર્પી શકે છે. હું અગાઉ લેખ લખી ચૂક્યો છું કે ધ્યાન કરો અને telomeres વધારો.
Bipolar disorder, anxiety, psychosis, panic attacks, suicide, depression, schizophrenia, OCD, alcoholism, eating disorders, આ બધા રોગોમાં વરસમાં મળેલા જિન્સ જવાબદાર હોય છે. Dr. Jehannine Austin , કહે છે સ્કીજોફ્રેનિયા,બાયપોલર ડીસઓર્ડર, OCD અને સ્કીજોઅફેક્ટીવ ડીસઓર્ડર જેવા મેન્ટલ રોગોમાં જિન્સ ખૂબ મહત્વનો ભાગ ભજવતા હોય છે જ્યારે આલ્કોહોલીઝમ, પેનિક ડીસઓર્ડર અને મેજર ડીપ્રેશનમાં જિન્સ નાનકડો ભાગ ભજવતા હોય છે.
ADHD
Depression
Bipolar disorder
Anxiety
Panic attacks
Substance abuse
Alcoholism
Attempted or committed suicide
Schizophrenia
Seizure disorder
Dementia/Alzheimer’s
ઉપર જણાવેલા તથા બીજા મેજર મેન્ટલ રોગો વારસાગત હોવાનું અભ્યાસમાં જણાયું છે. માતાપિતામાં આવા રોગ હોય ત્યારે બાળકોમાં એના ચાન્સ વધી જતા હોય છે. ADHD માબાપમાં હોય તો બાળકોમાં ઉતારવાનો ચાન્સ ૭૫% હોય છે. સ્કીજોફ્રેનિયા ૬૪ ટકા બાળકોમાં ઉતારવાનો ચાન્સ હોય છે અને bipolar ૫૯ % રેટ ધરાવે છે. ફૅમિલીની મેન્ટલ હેલ્થ હિસ્ટ્રી જાણી લેવી ઉત્તમ છે. જેનાથી નિદાન અને ઉપાયમાં સાવધાની વર્તી શકાય છે. ભારતમાં આવી બધી બાબતોનું મહત્વ આપણે સમજતા નથી તે કરુણતા છે. આપણે માનસિક બીમાર છીએ તેવું આપણે માની જ શકતા નથી. આવી ચકાસણી કે વિચાર કરવામાં નાનમ સમજતા હોઈએ છીએ. મેન્ટલ હેલ્થ એવો વિષય છે કે જેના વિષે જાહેરમાં આપણે વાત કરતા ખચકાતા હોઈએ છીએ.
૬ થી ૧૮ વર્ષના ૪૫ મિલિયન યુથ જ્યારે ઓર્ગેનાઈઝ્ડ સ્પોર્ટમાં ભાગ લઈ રહ્યા હોય ત્યારે અમેરિકામાં ACTN3 જિન્સ ચેક કરાવીને નક્કી કરવાની સવલત પણ આવી ગઈ છે કે તમારું બાળક ફૂટબોલ સારું રમી શકશે કે લોંગ ડિસ્ટન્સ રનીંગમાં આગળ વધશે.
ભારતમાં સંગીતનો સમૃદ્ધ વારસો બાળકોમાં ઊતરતો આપણે જોયો છે અને અનુભવ્યો પણ છે. મહાન સંગીતકારોના વારસદારો પણ મહાન સંગીતકાર બનેલા છે તેવા અગણિત દાખલા ભારતમાં છે. સંગીતની પ્રતિભા બાળકોમાં ઊતરવાની શક્યતા બાળકોમાં ૫૦% હોય છે. સંગીત ક્ષમતા સાથે જોડાયેલા જિન્સ વિષે એક અભ્યાસમાં જણાયું છે. ફેમિલી બેક ગ્રાઉન્ડ ભલે ના હોય પણ આ જિન્સ જો હોય તો એવા લોકો સંગીત ક્ષમતા ધરાવે છે.
બધું જિન્સ પર ઢોળી દેવું તે પણ ડહાપણ નથી. આપણે અનુભવ વડે જે ન્યુરલ નેટવર્ક બનાવ્યું હોય તે રીતે જીવન લાભદાઈ બનતું હોય છે. અને આ અનુભવો આપણાં જિન્સ અને આસપાસના વાતાવરણ વડે ઘડાતા હોય છે તે પણ હકીકત છે. જન્મ પછી જેમ જેમ અનુભવ થતા જાય તેમ તેમ ન્યુરલ નેટવર્ક ઘડતું જાય છે. ચર્ચિલના ફાધર એને કાયમ લુઝર કહેતા. એની માતા ભાગ્યેજ એને નોટિસ કરતી. ચર્ચિલના પિતાને એના પિતા લુઝર કહેતા. એની માતા સામાજિક કામોમાં વ્યસ્ત રહેતી. ચર્ચિલ ડિપ્રેશન વડે પણ પીડાતો હતો. એના પિતા પાસેથી કડવાશ અને અવહેલના શીખ્યો. માતા પાસેથી જોખમ લઈને સામાજિક રીતે વિજયી બનવાનું શીખ્યો. જુદાજુદા પેરન્ટસ પાસેથી મળેલી સારી ખોટી લાગણીઓ પામી અનુભવો વડે ઘડાયેલો ચર્ચિલ વિશ્વયુદ્ધમાં વિજેતા બનેલો. આમ બચપણમાં મળેલા અનુભવો થકી જે ન્યુરલ નેટવર્ક બને છે તે આખી જીંદગી આપણી સેવા કરતું હોય છે.
લાગણીઓના ચેપ. Hard Truths About Human Nature.
લાગણીઓના ચેપ
શું લાગણીઓ ચેપી હોય છે ? કોઈ કન્યા વિદાયની ઘડી હોય. કન્યા માતાપિતા, ભાઈ, બહેન, સગાવહાલાઓને ભેટીને રડતી હોય, કે વિદાય વસમી લાગતી હોય છે. તો ત્યાં ઊભેલા સહુ રડતા હોય છે. અરે કોઈ અજાણ્યો ત્યાંથી પસાર થતો હોય અને બે ઘડી ખાલી જોવા ઊભો રહી ગયો હોય તો તે પણ ભાવુક બની જતો હોય છે. આપણે આપણી લાગણીઓ, ભાવનાઓ વહેંચતા હોઈએ છીએ અને એનાથી અસર પણ પામતા હોઈએ છીએ. આપણી લાગણીઓ સીધેસીધી વાતો દ્વારા, ફોન પર વાતો કરીને, ઇ-મેલ કરીને, ફેસબુક અને ટ્વિટર પર લખીને કે પછી કોઈ પણ શબ્દ વાપર્યા વગર ફેલાવતા હોઈએ છીએ. અને તેનો પ્રભાવ પણ પડતો હોય છે. કોઈ આપણી સામે હસે તો આપણે તરત અનુકરણ કરીને સામું હાસ્ય ફેંકીએ છીએ. કોઈ રડતું હોય તો ભલે રડીએ નહિ પણ થોડી ઉદાસી તો આવી જ જાય છે અને એને મદદરૂપ થવાની ઇચ્છા જાગે છે.
નાના બાળકોમાં આ ચેપ અટકાવી શકાય તેવો હોતો નથી. અમે બે વર્ષથી વધુ ઉંમરના બાળકોનું પ્લે સેન્ટર ચલાવતા હતા ત્યારે મને અનુભવ છે કે એક બાળક રડવા માંડે તો એક પછી એક બધા રડવા લાગે. શું આવો લાગણીઓનો ચેપ લાગવો ફાયદાકારક હોય છે ?
આ લાગણીઓના ચેપનું વલણ મુખ્યત્વે બીજી વ્યક્તિના ભાવ પ્રદર્શન અને ભાવભંગિમાંની અજાણતાં કે અચેતન રૂપે નકલ કરી ભાવનાત્મક રીતે તેની નજીક જવાનું હોય છે. વિકાસના ક્રમ તરીકે મૂલવીએ તો આ ચેપ સર્વાઇવલ માટે જરૂરી હોય છે. દાખલા તરીકે મૅમલ સમૂહમાં રહેવા ટેવાયેલા હોય છે. ત્યાં કોઈ હુમલાખોર આવે તો ભયની લાગણી ફક્ત એક નહિ પણ આખા સમૂહમાં ફેલાઈ જતી હોય છે, અને પછી આખું ટોળું ભાગી જઈને બચી જતું હોય છે. સિંહ એક હરણની પાછળ પડ્યો હોય તો ફક્ત એકને જ ભય લાગે તો તે ભાગી જાય અને બીજામાં આ ભયની લાગણીનો ચેપ ફેલાય નહિ તો બીજા ઉભા રહે તો મર્યા સમજો.
આમ સમૂહમાં એકને ભય લાગે તો એનો ચેપ બધામાં ફેલાઈ જતો હોય છે જે સમૂહના સર્વાઇવલ માટે અત્યંત જરૂરી છે. શિકાગો યુનિવર્સિટીમાં કરેલા રિસર્ચ પ્રમાણે સંશોધકોએ જોયું કે એક ઉંદર તણાવમાં હોય તો એને જોઇને બીજા ઉંદર પણ તણાવમાં આવી જતા હતા. એક ઉંદરને પીડા થતી હોય તે જોઇને બીજા પણ એવી જ પીડા અનુભવતા હતા. જ્યારે કોઈના દુખ કે પીડા પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ થાય ત્યારે આપણે તેની પીડાનો અનુભવ કરતા હોઈએ છીએ. એના પ્રત્યે તાદાત્મ્ય અનુભવતા હોઈએ છીએ.
આમ લાગણીઓનો ચેપ ખરેખર માનવજાતની સેવા કરતો આવ્યો છે. આપણાં પૂર્વજો ભાષા શીખ્યા હશે તે પહેલા સર્વાઇવલ માટે આ ચેપ એમની ખૂબ મદદ કરતો હશે. મૂળભૂત મૅમલ બ્રેન લિમ્બિક સિસ્ટમનું આ મેકનિઝમ અદ્ભુત છે જેને મનોવૈજ્ઞાનિકો માસ સાઇકૉલોજી કે મોબ સાઇકૉલોજી કે ટોળાની માનસિકતા તરીકે પણ વર્ણવતા હોય છે. આમ હકારાત્મક લાગણીઓનો ચેપ લાગે ત્યાં સુધી તો બરોબર છે. પણ સર્વાઇવલ માટે હાલની પરિસ્થિતિ મુજબ જરૂરી નાં હોય છતાં નકારાત્મક લાગણીઓનો ચેપ જ્યારે આખા સમૂહ કે દેશ કે રાજ્ય કે ગામ કે શહેરોને લાગી જાય છે ત્યારે સામૂહિક હત્યાકાંડો સર્જાય છે અને તેમાં લાખો હજારો નિર્દોષ માર્યા જાય છે.
કુદરતે માનવજાતને બીજા પ્રાણીઓ કરતા બહુ મોટું મનન ચિંતન કરી શકે તેવું કૉર્ટેક્સ આપ્યું છે. લિમ્બિક સિસ્ટમતો બધા સસ્તન પ્રાણીઓ પાસે છે. પણ કૉર્ટેક્સની સાઇઝમાં ફેર હોય છે. આમ સૌથી મોટું બ્રેન વિકાસના ક્રમમાં આપણને મળ્યું હોય ત્યારે એનો પણ ઉપયોગ કરવો જરૂરી છે. પણ આપણે કાયમ ભાવનાઓના પૂરમાં તણાઈ જતા હોઈએ છીએ, તાવ ચડી જતો હોય છે. ક્રિકેટ ફીવર, નિર્મળ બાબા ફીવર આવા તો અનેક જાતના તાવ ચડી જતા હોય છે. અમુક લોકો આ તાવ ચડાવી દેવાના નિષ્ણાત હોય છે અને લોકો પાસે એમનું ધાર્યું કરાવી લેતા હોય છે. આમ આ સામૂહિક સર્વાઇવલ માટે વિકસેલું મેકનિઝમ સમૂહના નુકશાનનું કારણ બને છે.
પ્રેમ, કરુણા, મૈત્રી, ખુશી, સહકાર અને સદ્ભાવ જેવી પૉઝિટિવ લાગણીઓનો ચેપ લાગે અને ફેલાય તો સમૂહ કે સમાજ માટે ફાયદાકારક બને છે. દુખ, વેર, ક્રોધ, હતાશા જેવી નેગેટિવ લાગણીઓનો ચેપ સ્વાભાવિક સમાજ માટે નુકશાન કારક જ હોય. આપણે આનંદિત હોઈએ તો આજુબાજુ બધાને આનંદિત કરી મૂકીએ છીએ. દુખીકે ઉદાસ હોઈએ તો આજુબાજુ બધાને દુખી કે ઉદાસ કરી મૂકીએ છીએ.
આમ સુખ વહેંચવાથી, આનંદ વહેંચવાથી સુખ આનંદ વધે છે, અને દુખ વહેંચવાથી દુખ વધે છે. જોકે દુખ વહેંચવાથી આપણાં દુખે દુખી થનારની સહાનુભૂતિ મળી જાય તેટલો દીલાસાજનક ફાયદો જણાતો હોય છે. ચાલો હું એકલો દુખી નથી બીજા પણ મારા જેવા છે. સર્વાઇવલ માટે આપણું દુખ કે આપણી તકલીફ બીજાને જણાવવામાં કોઈ વાંધો નથી, ફક્ત ખોટી સહાનુભૂતિ મેળવવાની ટેવ ના પડી જાય તેટલી તકેદારી રાખવી જરૂરી છે.
Read more about EMOTIONAL CONTAGION here…
સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે ધમ ધમ.
આ જુનું પુરાણું સૂત્ર ભારતનું લાગે છે ને ? મૂળ આ સૂત્ર ભારતનું નથી. આ સૂત્ર પશ્ચિમથી આયાત થયેલું હતું. હવે તો જોકે વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા મારવાનું બંધ થઈ ગયું છે. અંગ્રેજોના જમાનામાં કારકુન પેદા કરવા ભારતમાં મૅકોલે દ્વારા શિક્ષણ પદ્ધતિ દાખલ કરાઈ ત્યાર પછી આ સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે ધમ ધમ ચાલુ થયેલું. બાકી પ્રાચીન ગુરુકુળ પદ્ધતિમાં શીખવવાની પદ્ધતિ લગભગ હન્ટર-ગેધરર સમાજો જેવી હશે તેવું મને લાગે છે. ગુરુકુળ પદ્ધતિમાં રાજા અને રંક સાથે ભણી શકતા પણ તે બ્રાહ્મણ અને ક્ષત્રિય હોય તો જ..
ગુરુકુળ પદ્ધતિનો ભારતમાં એક મોટો ડ્રૉબેક એ હતો કે તેમાં ઊચ્ચવર્ણનાં બ્રાહ્મણ અને ક્ષત્રિય સિવાય બીજા કોઈને ભણવાનો અધિકાર નહોતો. ક્ષત્રિયોમાં પણ ઉચ્ચ રાજઘરાનાનાં સંતાનો સિવાય કોણ ભણવા જતું હશે ? મૅકોલેની શિક્ષણ પદ્ધતિમાં લાખ દોષો હતા, પણ એનો એક ફાયદો એ થયો કે સમાજના તમામ વર્ગને ભણવા જવાનો ચાન્સ મળ્યો. હજુ આપણે જૂનીપુરાણી મૅકોલે પદ્ધતિમાં કોઈ ખાસ ફેરફાર કર્યો હોય તેમ લાગતું નથી. આપણે જૂનીપુરાણી વસ્તુઓના શોખીન છીએ. એને સંગ્રહી રાખવામાં માહેર છીએ. હવે આ સડેલી મૅકોલે પદ્ધતિમાં સુધારો કરવો જોઈએ.
પશ્ચિમનાં શિક્ષણનાં ઇતિહાસમાં એક સમય એવો હતો કે શીખવવું અને મારવું સમાનાર્થી શબ્દો હતા. બાળકો માટે શીખવવું અને મારવું કે સજા કરવી બધું સરખું જ હતું. મતલબ ટીચિંગ સાથે બીટિંગ જોડાયેલું હતું, અને આ પશ્ચિમનું દૂષણ ભારતમાં અંગ્રેજો સાથે પ્રવેશી ચૂક્યું હતું. ધોતિયાધારી હાથમાં સોટી ધરાવતા શિક્ષકો બાળકો માટે યમદૂત જેવા લાગતાં હશે. ચાલો બાઈબલનાં પ્રૉવર્બ્સ શું કહે છે તે જોઈએ :
• “Do not withhold correction from a child, for if you beat him with a rod, he will not die. You shall beat him with a rod and deliver his soul from hell.” (Proverbs 22:13-14)
• “Foolishness is bound up in the heart of a child, but the rod of correction shall drive it far from him.” (Proverbs 22:15)
• “Blows that hurt cleanse away evil, as do stripes the inner depths of the heart.” (Proverbs 20:30)
• “He that spares his rod hates his son, but he that loves him chastens him.” (Proverbs 13:24)
આમ આજ્ઞાપાલન શીખવવું પડે અને સજા એ શીખવવાનો રાજમાર્ગ હતો. ૧૭, ૧૮ અને ૧૯મી સદી સુધી પશ્ચિમમાં ચર્ચ સ્કૂલો ચલાવતું હતું. આ સ્કૂલો શીખવવાને બદલે સુધાર સ્કૂલો વધુ હતી. બાળકો natural sinner છે તેવી માની લીધેલી ધારણાઓ પર આ સુધાર સ્કૂલો ચાલતી. બાળકોને આજ્ઞાંકિત બનાવી એમના આત્માને બચાવી શુદ્ધ સેવકો બનાવવા માટે ભગવાનનો ડર લાગવો જોઈએ. એમ શિક્ષકોનો પણ ડર લાગવો જોઈએ, પિતાનો પણ ડર લગાવો જોઈએ. એમ જે ઉપરી હોય તે બધાનો ડર લાગવો જોઈએ.
આજે પણ સ્કૂલોમાં પહેલું આજ્ઞાપાલન શીખવવામાં આવે છે અને સજા એ શીખવવાનો મુખ્ય રસ્તો હોય છે. સ્કૂલનાં નિયમો પાળવા પડે. હવે મારવાનું લગભગ બંધ થઈ ગયું છે. એક સજા તો ઓછી થઈ પણ માર્ક્સ આપવાની પદ્ધતિ પ્રાથમિક સખ્તાઈ બની ગઈ છે. ખૂબ ઊંચા માર્ક્સ મેળવવા એજ જીવનની સફળતા છે તેવું દરેકના બાળકોના, વાલીઓના અને શિક્ષકોના મનમાં સમાઈ ગયું છે. અમુક હદથી ઓછા ટકા હોય તો સ્કૂલથી અટકી જવું પડતું હોય છે. કૉલેજમાં જવા માટે તો ખૂબ ઊંચી ટકાવારી જોઈએ. અને જે બાળકો આ ઊંચી ટકાવારી ના મેળવી શકે તેમનું તો જીવનજ અસફળ થઈ ગયું. આમ શિક્ષક દ્વારા માર ખાવા કરતા ઓછા માર્ક્સ આવવા બહુ મોટી સજા બની જતું હોય છે.
ચાર્મી કાયમ ઊંચા માર્ક્સ લાવતી વિદ્યાર્થીની હતી. પરીક્ષકને લાગ્યું કે ચોરી કરે છે લાલ શાહી વડે માઈનસ ૩૦ માર્ક્સ પુરવણીમાં લખી નાખ્યા. હવે બચારી સો માર્કસનું સાચે સાચું લખે તો પણ ૭૦ સમજવાના. અને ૭૦ માર્કસનું સાચું લખે તો ૪૦ સમજવાના. બસ જીવન અસફળ થઈ ગયું, આના બદલે શિક્ષકે બે લાફા મારી લીધા હોત કે અંગૂઠા પકડાવી લીધા હોત તો સારું થાત. આત્મહત્યા કરવા કૂદી પડી અને બચી ગઈ પણ પગ ભાંગી બેઠી.
હમણાં મારા દીકરા હરપાલસિંહ સાથે ચર્ચા કરતા જાણ્યું કે અહીં ન્યુ જર્સીમાં સ્કૂલોમાં નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે ટીચરે વિધાર્થીની નોટબુક કે પેપરમાં લાલશાહી વડે કોઈ રિમાર્ક કરવું નહિ. બ્લ્યુ કે બ્લેક ઇન્ક વડે જ લખવું. કારણ લાલ રંગ આક્રમક હોવાથી બાળકો લાલ શાહી જોઈ વ્યગ્ર થઈ શકે છે. આપણે બાળકોને મારવા કરતા ઓછા વધતા માર્ક્સ આપીને સંતોષ અનુભવીએ પણ માર્ક્સ પદ્ધતિ depression, anger, cynicism વધારે છે. Any coercive teaching is an act of aggression.
આપણે બાળકો ઉપર આપણાં અધૂરાં સપના થોપી દેતા હોઈએ છીએ. બાળકોની રુચી, યોગ્યતા, પસંદ અને માનસિકતા મુજબ એમને જે ભણવું હોય તેમાં દાખલ કરવા જોઈએ. પણ બધા માબાપને એમના બાળકોને પહેલા ડૉક્ટર પછી એન્જિનિઅર બનાવવા હોય છે. બાળકોને એમની અણગમતી લાઈનમાં ભણાવવા તેમના આત્મા ઉપર હુમલા સમાન છે. હવે આ માર્ક્સ કઈ રીતે આપાય છે તે આપણે સહુ જાણીએ છીએ. શિક્ષકે પીધેલ એક સારી કે ખરાબ ચા કે કૉફિ પણ માર્ક્સ ઉપર અસર કરી શકે છે.
ગ્રેડ સિસ્ટમ, માર્ક્સ સિસ્ટમ કરતા થોડી સારી હશે. માર્ક્સ સિસ્ટમનો હળવો પ્રકાર ગ્રેડ સિસ્ટમ લાગે છે. ૮૦ માર્ક્સ લાવનાર અને ૯૦ માર્ક્સ લાવનાર બંનેની ગ્રેડ ‘B’ હોય એટલો ફેર પડે. ઘણી જગ્યાએ A, A+, A++ વપરાતું હોય છે. આવું જ B ગ્રેડનું સમજવું. છતાં સાવ જૂની ઘરેડ મૅકોલેના જમાનાની પકડી રાખવી તેના કરતા થોડું ઇવલૂશન કરવું તો પડે જ. બળદગાડી પરથી સીધા એરપ્લેન પર તો આવી જવાતું નથી. માર્કસની મૅરથન પડતી મૂકી કશું નવું અપનાવવાનો સમય હવે પાકી ચૂક્યો છે.
સત્તાવાર આંકડા મુજબ અમેરિકામાં ૪ થી ૧૭ વર્ષની આયુ ધરાવતા બાળકોમાં ૮% બાળકો ADHD વડે પીડાતા માલૂમ પડ્યા છે. Attention Deficit Hyperactivity Disorder વડે પીડાતા બાળકોમાં છોકરીઓના પ્રમાણમાં છોકરાઓ ત્રણ ઘણા વધુ હોય છે. ચાલો આંકડા ગમે તે કહેતા હોય આ ADHD છે શું? સીધી સાદી વ્યાખ્યા મુજબ બાળકો સ્કૂલનાં વાતાવરણમાં ગોઠવાઈ જતા નથી કે અનુકૂલન સાધી શકતા નથી. શિક્ષકોના અબ્ઝર્વેશન મુજબ સ્કૂલમાં બાળકની ડોકમાં દુખાવો થતો હોય, ભણવામાં ધ્યાન આપતું નાં હોય, અસાઇન્મન્ટ પુરા કરતું ના હોય, વધારે પડતું હલનચલન કરી આખા વર્ગને ખલેલ પહોચાડતું હોય, વધારે પડતું બોલ્યા કરતું હોય ત્યારે બાળક ADHD વડે પીડાતા હોવાની શક્યતા છે તેમ કહેવાય. મૂળ તો ઇવલૂશનરી મિસમૅચિંગનો દાખલો છે.
લાખો વર્ષ થયા માનવને ઉત્ક્રાંતિ પામે. એમાં લાખો વર્ષ લાગી કોઈ સ્કૂલો હતી નહિ. બાળકો જે જરૂરી હોય તે રમતગમતમાં શીખી લેતા હતા. બધું પ્રેક્ટિકલ શીખવવામાં આવતું, કે શીખી જતા. આવી બંધ ચાર દીવાલો વચ્ચે બેસીને બાળકો લાખો વર્ષ લાગી કશું શીખ્યા નહોતા. શું બાળકો આપણે શીખવીએ તો જ શીખતા હોય છે ? જાતે કશું શીખતા નહિ હોય ??-