Asides

ગંગે ચ, યમુને ચ.

1329857_Wallpaper1 ગંગા તારું પાણી અમૃત?

આજે ગંગાને જુએ તો મહારાજા ભગીરથનો જીવ કકળી ઉઠે અને ગંગાને અવશ્ય પૂછે કે ગંગા તું બહેતી હે ક્યું? તો ગંગા પણ અવશ્ય જવાબ આપે કે અબ મૈ વો પવિત્ર ગંગા નહિ રહી જો આપ સ્વર્ગસે ઉતાર લાયે થે. અબ મૈ ગટરગંગા બનકે રહ ગઈ હું. મારે ગંગા ઉપર કોઈ ડોક્યુમેન્ટરી બનાવવી હોય તો અમિતાભ બચ્ચનને રાજા ભગીરથ બનાવી ઐશ્વર્યાને ગંગાના રૂપમાં દર્શાવી ઉપરનો સંવાદ એમના મુખે બોલાવી શરૂઆત કરું.

કેવા મહાન ઋષિઓ આ દેશના હતા કે જેમણે નદીઓને માતા કહી, ગાયને માતા કહી. અને આપણે મૂરખ ભારતીયોએ નદીઓને ગટરમાં તબદીલ કરી નાખી અને ગાયને પ્લાસ્ટિકનો ચારો ચરતી કરી દીધી. સવારમાં ઉઠીને સ્નાન કરતી વખતે ગંગે ચ યમુને ચ કહી શરીર ઉપર લોટા રેડતા, મારા મહાન દેશભક્ત મિત્રો આપણે રોજ ગંગામાં ૧.૭ અબજ લીટર ઔદ્યોગિક કચરા સાથે બીજો અનેક જાતનો કચરો વહાવીએ છીએ અને બીજા ૮ કરોડ ૯૦ લાખ લીટર સ્યૂઇજ(મળમૂત્ર) ઠાલવીએ છીએ. ખેર આંકડાકીય માહિતીમાં ફેરફાર હશે ક્યાંક, પણ ગંગે ચ યમુને ચ નું પાણી પીવાલાયક તો શું નહાવા લાયક પણ આપણે રહેવા દીધું નથી. કારણ WHO એ સેઈફ ગણી હોય તેવી પ્રદૂષણની માત્રા કરતા ગંગાનું પાણી ૩૦૦૦ ગણું પ્રદુષિત છે. Uttarakhand Environment Conservation and Pollution Control Board દ્વારા અભ્યાસ કરવામાં આવેલો તેમાં હરિદ્વાર નજીક ગંગામાં કોલીફોર્મ નામના બેક્ટેરિયાનું લેવલ ૫૫૦૦ આવ્યું જે લિમીટ કરતા ૧૦૦ ગણું વધુ હતું.

4 લાખ ચોરસ માઈલ આવરતી ગંગા ઉપર ૨૯ શહેર એવા છે જેમની વસ્તી એક લાખ કરતા વધુ છે અને 23 શહેર એવા છે જેમની વસ્તી ૫૦ હજાર થી લાખ વચ્ચે હશે અને ૪૮ ટાઉન છે જેમની વસ્તી ૫૦ હજાર કરતા ઓછી હશે. ૧૯૮૬માં રાજીવ ગાંધીએ ૪૬૨ કરોડ રૂપિયાનો ધ ગંગા એક્શન પ્લાન નામનો વારાણસી આગળ ગંગા સફાઈ માટેનો પ્રોજેક્ટ મંજુર કરેલો. પણ તે સફળ થયો નહિ. બીજા ફેજમાં મંજૂરી મળતાં ૨૦૧૪ સુધીમાં ૯૩૯ કરોડ વપરાઈ ચૂક્યાં છે. મનમોહનસિંઘ શું કામ બાકી રહે? National Ganga River Basin Authority (NRBA)નાં હેડ બની એમણે ૩૦૩૧ કરોડ ફંડ મંજુર કર્યું ગંગાનું પ્રદૂષણ નાબૂદ કરવા નહિ ફક્ત ઓછું કરવા. ૨૦૧૩ સુધીમાં ૭૮૫ કરોડ તેમાં પણ વપરાઈ ચુક્યા છે.

ગંગે ચ ની જેમ યમુને ચ ની પણ એજ દશા છે. પાલ્લા ગામથી મૈયા યમુના દિલ્હીમાં પ્રવેશ કરે છે અહિ 22 ગટર દ્વારા એમનો જલાભિષેક થાય છે. ૧૮ ગટરો તો સીધી જ એમાં ઠલવાય છે અને બાકીની 4 વાયા આગ્રા ગુરુગાંવની કેનાલો દ્વારા. દિલ્હી રોજનું ૧૯૦૦ મિલિયન લીટર સ્યૂઇજ પેદા કરે છે. છેલ્લા બે દસકામાં ૬૫૦૦ કરોડ યમુનાને ચોખ્ખી કરવામાં વપરાયા છે. જાપાનની મદદ લઈને પહેલા બે ફેજ માં ૧૫૦૦ કરોડ વપરાયા છે.

ન્યુ જર્સીથી બહાર પડતા ‘ગુજરાત દર્પણ’ માં અમારા પરમ મિત્ર કૌશિક અમીન લખે છે, ‘ યમુના કૃષ્ણ અને રાધાની પણ પ્રિય છે. વૈષ્ણવો માટે યમુનાનું જળ કદાચ ગંગાજળથી પણ વિશેષ છે. આજે તો વૃંદાવન-મથુરાના વિસ્તારોમાં વૈષ્ણવ યાત્રિકો જે આચમની લે છે, સ્નાન કરે છે તે માત્ર ગટરગંગા જ છે. આંકડાઓ અનુસાર ગંગા કરતા પ્રદૂષણની માત્રા યમુનામાં વધુ છે. મોદી સાહેબે શરુ કરેલો ‘નમામિ ગંગે’ કાર્યક્રમ ગંગા સફાઈ માટે ૨૦૧૯મા પૂરો થશે. તેમ જણાવ્યું છે. ૧૯૮૫મા આવો જ ખેલ ત્યારના વડાપ્રધાન રાજીવ ગાંધીએ પણ કર્યો હતો. અને કરોડો રૂપિયાનું આંધણ થયું, પરિણામ શૂન્ય! આજે પણ યમુનાના કિનારે જાવ તો પાણીની દુર્ગંધ માથું ફાળે તેવી હોય છે. આગ્રામાં અનેકવાર આખી નદી ગટરના ફીણથી ઉભરાયેલી જોવા મળે છે.’

મેં એકવાર લખેલું કે ગંગા તો વહેતી નદી છે. ગંગા હોય કે યમુના કે કોઈ પણ નદી એને ચોખ્ખી કરવા કરોડો ખર્ચીએ છીએ એના બદલે એમાં ગંદકી ઠાલવવાનું બંધ કરીએ તો આ વહેતી નદીઓ તો એકાદ બે ચોમાસામાં એમની જાતે જ ચોખ્ખી થઈ જાય. જરૂર છે દરેક શહેર પાસે સારા ઉત્તમ સ્યૂઇજ પ્લાનની. જો કે સરકારો તે દિશામાં કામ કરતી જ હશે પણ ક્યાંક ગરબડ જરૂર છે. આટલા બધા કરોડો રુપિઆ વપરાયા પછી નદીઓ એવી ને એવી ગંદી જ છે. કદાચ કાગળ ઉપર સ્યૂઇજ પ્લાન્ટ નખાઇ જતા હોય અને રૂપિયા ચવાઈ જતા હોય તેમ બને. આપણા દેશમાં કશું અશક્ય નથી કારણ,

“આપણે ધાર્મિક છીએ નૈતિક જરાય નહિ.”

દુશ્મનને લાડ કરો (appeasement reaction)

દુશ્મનને લાડ કરો (appeasement reaction)

૨૦૧૩માં લંડનનાં એક ઘરમાંથી ત્રણ સ્ત્રીઓને ૩૦ વર્ષથી ગુલામીની બેડીઓમાં જકડી પારાવાર પીડા આપવામાં આવતી હતી તેમાંથી છોડાવવામાં આવી. બ્રિટીશ પોલીસ દ્વારા આ બનાવને “highly traumatized’ અને “worst case of modern-day slavery” તરીકે ઓળખવામાં આવ્યો. ત્રીસ ત્રીસ વર્ષ તમે કોઈને ત્રાસ આપી સાથે રહેવા કઈ રીતે મજબૂર કરી શકો?

Chris Cantor અને John Price નામના ઓસ્ટ્રેલિયા અને યુકેના મનોવૈજ્ઞાનિકોએ આવા બનાવો ઉપર સરસ સંશોધનાત્મક તારણ કાઢ્યાં છે. આ કોયડાની કૂંચી ‘appeasement’ reaction માં મળી આવે છે. અપીઝમન્ટ એટલે શાંત પાડવું, શમાવવું, (આક્રમણ કરનારને) સવલતો કે લાંચ આપીને મનાવવાનો પ્રયત્ન કરવો, સંતુષ્ટ કરવું. આ વર્તણૂક આપણા genes અને બાયોલોજિમાં સખત રીતે ગૂંથાયેલી છે અને તે સર્વાઈવલ માટે હોય છે. સર્વાઈવલ માટે કાંતો લડો અથવા શરણે થઈ હુમલાખોરને ખુશ કરો. ઘણીવાર તો હુમલાખોર સામે મદદ કરવા આવનારને ભૂલી જઈ ને ઉલટા હુમલાખોરને લાડ લડાવનારા પણ હોય છે, આને ‘Stockholm syndrome’ કહેવામાં આવે છે. એ સમયે મદદકર્તા મિત્રોને નવાઈ સાથે આંચકો પણ લાગતો હોય છે. સ્ટોકહોમની એક બેંકમાં ૧૯૭૩માં ધાડ પાડવામાં આવેલી ત્યારે ધાડપાડુઓ દ્વારા અમુક લોકોને હોસ્ટેજ તરીકે રાખવામાં આવેલા. હોસ્ટેજીસને પોલીસ છોડાવવા આવી ત્યારે એ લોકોએ ઉલટા ધાડપાડુઓનો બચાવ કરી પોલીસને ગાળો દીધેલી. આમાંની એક સ્ત્રી તો એક ધાડપાડુનાં પ્રેમમાં પણ પડી ગયેલી.

૧૯૭૪માં એક ટેરરિસ્ટ ગૃપ દ્વારા Patty Hearst નામની એક સ્ત્રી કિડનેપ થયેલી. એને સાવ નાના બે ક્લૉઝિટમાં રખાયેલી. સતત એના પર બળાત્કાર કરવામાં આવેલા. બે મહિના પછી એને સ્નાન કરવાની છૂટ આપવામાં આવેલી. છેવટે એણે ટેરરિસ્ટ ગ્રૂપમાં જોઈન થવાની વિનંતી કરી અને બેંક લુંટમાં ભાગ પણ લીધેલો. એને સજા પણ થઈ હતી પણ પાછળથી માફી આપવામાં આવેલી. આપણે ત્યાં મનોવૈજ્ઞાનિકો આવા રસપ્રદ સંશોધન કરવાને બદલે કવિતાઓ કરતા હોય છે બાકી આને સ્ટોકહોમ સિન્ડ્રોમને બદલે ફૂલનદેવી સિન્ડ્રોમ કહી શકાય. ફૂલનદેવીને ડાકુ ટોળી દ્વારા ઉઠાવી જવામાં આવેલી અને એના ઉપર ટોળીનો સરદાર બળાત્કાર કરતો. સરદાર બદલાય એટલે નવા સરદારનો ત્રાસ સહન કરવાનો. ત્રાસ પછી માફક આવી મજા બની ગયો અને પોતે જ ટોળીમાં સક્રિય ભાગ લઈ લુંટફાટ મર્ડર કરવા લાગેલી. હરીફ ડાકુ ટોળી એકવાર એને ઉઠાવી ગઈ અને એના પર બધાએ બળાત્કાર કર્યો. આ બળાત્કાર કરનાર એકેય ડાકુને તે મારી શકી નહિ પણ વેરની વસૂલાત માટે જે ગામમાં રાખીને બળાત્કાર કરવામાં આવેલો તે ગામના નિર્દોષ ગામવાસીઓને એણે લાઈનબંધ ઉભા રાખી ૨૦ જણાને ગોળીએ દઈ દીધા. પછી તો આ મરનાર વીસ જણમાંથી કોઈ એકના વારસદારે મોટા થઈને, ધારાસભ્ય બનેલી ફૂલનદેવીને ગોળીએ ઉડાવી દીધી હતી.

આ ત્રાસ આપનારા જેને બાનમાં લીધી હોય તે વ્યક્તિ ઉપર અસહ્ય જુલમ ગુજારી તદ્દન અસહાય અવસ્થામાં ધકેલી દેતા હોય છે. ભયંકર એકાંત અને સૂગ ચડે તેવી સ્થિતિમાં રાખતા હોય છે. ઉપરથી ક્યારે મોત મળે તે નક્કી નહિ. એટલે સર્વાઈવલ મેકનિઝમ તરીકે અપીઝમંટ અને સ્ટોકહોમ સિન્ડ્રોમ નામની વર્તણૂક શરુ થઈ જતી હોય છે. ત્રાસ આપનાર હુમલાખોરને કોઈપણ હિસાબે ખુશ રાખો જેથી જીવ બચી જાય. આ અપીઝમંટ બિહેવ્યરમાં બીજી ત્રણ વર્તણૂક સમાયેલી છે એક તો શાંત પાડવું, પ્રસન્ન કરવું અને સમર્પિત થઈ જવું.

વાનરો અને કપિમાનવમાં(ape) હુમલાખોર જબરા વાનર પાસે માર ખાનાર વાનર પાછાં જતા હોય છે એની સહાનુભૂતિ જીતવા. એટલે સુધી કે હુમલાખોર સામે મદદ કરનારને બાજુ પર રાખી અવગણી હુમલાખોર પાસે જતા હોય છે. સમર્પણ કે સમર્પિત થઈ જવું પ્રાણી જગતમાં સામાન્ય છે અને તે સર્વાઈવલ માટે જરૂરી બની જતું હોય છે. તણાવ અને જોખમ સમયે આપણે કોઈ બીજી વ્યક્તિ સાથે સગવડ અને સલામતી માટે માનસિક સ્તર પર જોડાણ ઈચ્છતા હોઈએ છીએ. હવે ભયાનક અને તદ્દન એકાંતમાં બંદી બનાવાએલ વ્યક્તિ કે સ્ત્રી સામે એક જ વ્યક્તિ હોય છે તેને બંદી બનાવનાર. તો પછી તે સલામતી ખાતર એની સાથે જ માનસિક જોડાણ ઈચ્છશે બીજો કોઈ ઉપાય જ નથી. કારણ ભયાનક સ્ટ્રેસ સમયે બીજી વ્યક્તિ સાથે જોડાણ ઈચ્છવા માટે આપણે જીનેટીકલી ડિઝાઈન થયેલા છીએ. પવિત્ર લગ્ન વ્યવસ્થા જ્યારે આવી સ્થિતિ ઊભી કરતી હોય ત્યાં બીજો કોઈ ઉપાય ના હોય ત્યારે રોજ માથાં ફોડનાર, અસહ્ય માર મારનારા બેફામ પતિદેવને પ્રેમ કરી આખી જીંદગી સહન કરનાર સ્ત્રીઓ પણ હોય છે, એવી બેફામ જુલમી પત્નીઓને સહન કરનાર અસહાય પુરુષો પણ હોઈ શકે છે.

તકલીફ એ થાય છે કે આવા જુલમ સહન કરનાર, ત્રાસ સહન કરનાર પછી પોતાની જાતને દોષી માનવા લાગતા હોય છે. સમાજ પણ એમને દોષી માનવા લાગતો હોય છે. દાખલા તરીકે કોઈ સ્ત્રી વારંવાર કોઈ એક પુરુષના બળાત્કારનો ભોગ બની હોય ત્યારે સમાજ તો પહેલા એને જ દોષી માનશે. પેલી સ્ત્રી પણ પોતાને દોષી માનશે કે મેં વારંવાર આવું સહન કેમ કર્યું? પણ જો આપણે અપીઝમંટ રિએક્શનને સમજી શકીશું તો એનો દોષ નહિ દેખાય. સ્ત્રીઓ બળાત્કાર કરવા દેતી હોય છે કારણ એમને જીવનું જોખમ લાગતું હોય કે ભયંકર શારીરિક પીડા મળવાની શક્યતા હોય. અપહરણકર્તાને સેક્સ કરવા દેવામાં જીવનું જોખમ ઓછું થઈ જતું હોય છે.

જો તમે જબરા હો, મજબૂત હો, શક્તિશાળી હો તો તરત હુમલાખોર સામે હથિયાર ઉઠાવવાના જ છો પણ કમજોર હો તો પછી દુશ્મનને ખુશ કરો. ઘણીવાર તો મદદકર્તા મિત્રોને અવગણીને પણ દુશ્મનને ખુશ કરો. વ્યક્તિગત તો ઠીક આખા સમાજ આવું બિહેવ્યર કરી શકે છે. છેવટે તો આપણે સસ્તન પ્રાણીઓ સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલા છીએ એટલે સમૂહના વડા નબળા હોય તો આખા સમૂહને બીજા જબરા સમૂહ સામે સમર્પિત થઈ જવું પડતું હોય છે. ઘરના વડીલ નબળા હોય તો બીજા કુટુંબીઓ મારી જતા હોય છે. ઘરમાં બાપુજી કમજોર હોય તો પડોશીઓ, કાકાઓ, પિતરાઈઓ અને બીજા કુટુંબીઓ હેરાન પરેશાન કરી મૂકતાં હોય છે. પછી શરુ થાય છે અપીઝમંટ બિહેવ્યર, દુશ્મનને કોઈપણ હિસાબે ખુશ રાખો.

 

 

Spineless Leaders of Democracy (Karikatur von David Low, 8_ Juli 1936)

Miss you મા ભારતી – ૨

 

 

 

Miss you  મા ભારતી – ૨12417802_10206405258382975_3993704931096916108_n

 

પ્રિય યુવાન મિત્ર કૃણાલસિંહ સરસ મજાનો બુકે લઈને એરપોર્ટ ઉપર સ્વાગત કરવા હાજર હતા. મહાભારત ઉપર ફિલ્મ કે ટીવી સિરીયલ બનાવવી હોય તો કૃણાલને ભીમનું પાત્ર સોપવું પડે. મિત્ર વિક્રમસિંહને મિત્ર કહેવા કરતા નાનાભાઈ કહેવું વધુ સારું. તેઓ સરસ મજાના બુકે સાથે એમની કાર લઈને મને લેવા જ પધાર્યા હતા. શિવજીનાં પરમ ભક્ત વિક્રમસિંહ સાથે અમારે ચાર પેઢીનો કૌટુંબિક નાતો છે. વિક્રમસિંહનાં દાદા જગતસિંહ મારા પિતાના જુના મિત્ર હતા. વિક્રમસિંહનાં દીકરા રુદ્ર્પાલસિંહ અને મારો દીકરો ધ્રુવરાજસિંહ પણ નાના હતા ત્યારે જોડે રમતા. એરપોર્ટ પર એમના દીકરા શિવપાલસિંહ પણ ફેસબુકના આધારે મને ઓળખી ગયેલા. વિક્રમસિંહનાં તમામ સંતાનોના નામ ભગવાન શિવ ઉપર છે. એમના બંગલાનું નામ પણ રુદ્રાલય છે. મિતભાષી પણ ગ્રેટ હ્યુમર સેન્સ ધરાવતા વિક્રમસિંહ આજે સૌથી વધુ મને મિસ કરતા હશે તેની મને ખાતરી છે. હું, મારા ભાઈ પ્રદીપસિંહ, ભાઈ વિક્રમસિંહ અને એમના કઝન વિજયસિંહ જ્યાં સુધી ભેગા બેઠાં હોઈએ ત્યાં સુધી હાસ્યરસનાં સમુદ્ર જ હિલ્લોળા લેતા હોય તે નક્કી.

પ્લેન થોડું લેટ હતું, તો બેગ્સ વગેરે બહાર આવતા પણ થોડી વાર તો લાગતી જ હોય છે. લગભગ બારેક વાગ્યે માણસા આવી પહોચ્યાં તો મારા ભાઈ પ્રદીપસિંહ, વિક્રમસિંહના ભાઈ વિજયસિંહ, મારા કઝન મહેન્દ્રસિંહનાં દીકરા એવા ભત્રીજા રણજીતસિંહ એમના માતા અને કુટુંબ સાથે સ્વાગત કરવા હારતોરા કરવા કાગડોળે હાજર હતા. હું અંગત રીતે આવી પરંપરાઓમાં બહુ માનતો નથી પણ સામેવાળાના દિલની હાલત પણ જોવી જોઈએ. એમની ખુશીમાં મારી ખુશી હોવી જોઈએ. મને હાર પહેરાવીને કોઈને અનહદ ખુશી મળતી હોય તો મારે શું કામ જડ વિરોધ કરવો જોઈએ?

ગુજરાત સમાચારના સિનીયર એડિટર મિત્ર ધૈવત ત્રિવેદીએ મારા માટે એમના એક મિત્રને પરમ્પરા ભંજક તરીકે ઓળખાણ આપેલી. પણ અમુક પરમ્પરાઓ બહુ નુકસાનદેહ હોતી નથી. જડભંજક બનવામાં બહુ મજા નથી.

અનૌપચારિક અને દિલથી કરાયેલી સ્વાગત વિધિ બાદ બધા હક્કાબક્કા હતા કે હવે શું કરવું? બધા મને જોઈ એટલા ખુશ હતા કે એમને શું કરવું સમજ પડતી નહોતી. મારી જોડે એનો ઉપાય હતો, બ્લેક લેબલ.. બહુ વર્ષે આવ્યો તો પાર્ટી તો બનતી હૈ કી નહિ? જમવાનું રેડી હતું પણ કોઈને જમવામાં રસ નહોતો. પ્રિયજનનાં દર્શન થાય તો ભૂખ મરી જતી હોય છે. અને મારો ખોરાક હવે સાવ ઓછો થઈ ગયો છે. પ્લેનમાં પણ ચારેકવાર નાસ્તો અને ભોજન અપાયેલું જે મારા માટે વધારે પડતું હતું. બ્લેક લેબલના જામ ભરાઈ ચૂક્યા હતા પણ ભારતીય રિવાજ મુજબ મેં એમાં બ્લેક લેબલની આબરૂ શું કામ કાઢો છો કહી પાણી કે સોડા ઉમેરવા દીધું નહિ.

“કોઈ મિલાવે પાણી બરફને કોઈ મિલાવે સોડા, અમે જિંદગી મોઢે માંડી નીટેનીટ પીધી” લલકારીને બધાને ચીયર્સ કહી નીટ બ્લેક લેબલના ઘૂંટ મારવા મજબૂર કરી દીધા. યસ! મેં મારી જીંદગી નીટેનીટ પીધી છે. હું એમાં દંભના પાણી, બરફ કે સોડા ઉમેરતો નથી. જેવો છું એવો છું. ખરાબ કહો કે સારો હું તો જેવો છું એવો જ છું. પ્રેમ કરો કે નફરત જેવો છું એવો જ છું. અને એટલે જ જીંદગી હોય, શરાબ હોય કે શબાબ તમામને નીટેનીટ આ પીનારને લોકો બહુ ચાહે છે. હસી ખુશી, મજાક મસ્તી અને જમતા લગભગ સવાર પડવા આવી ત્યારે બધા ઊંઘવાને તૈયાર થયા.

બીજા દિવસે પહેલું કામ પરમીટ લેવાનું કર્યું. દસ દિવસ પુરતી બે બોટલ મળે. બે બોટલ તો ફક્ત બે દિવસ જ ચાલે આ હેવી ડ્રીન્કર્ અને થીન્કર માટે. ગુજરાતમાં દારૂબંધી એક બહુ મોટો દંભ છે. દારૂબંધી પોલીસખાતા અને પ્રધાનો માટે બહુ મોટી કમાણીનું સાધન માત્ર છે. માટે જ ગાંધીજીનું નામ લઈને એને ચલાવી રહ્યા છે લુચ્ચા રાજકારણીઓ.

ત્રીજા દિવસે ગુજરાતી સાહીત્યોત્સવ (GLF) માં મજા પડી ગઈ.12548979_10206405293583855_6097322768225537092_n

અમેરિકાથી આવ્યો ૭મી ની મોડી રાત્રે. એટલે એક દિવસ આરામ કરી નવમી જાન્યુઆરીનાં દિવસે GLF એટલે ગલ્ફ નહિ પણ ગુજરાતી સાહિત્યોત્સવમાં (ગુજરાતી લિટરેચર ફેસ્ટીવલ) જવાની સારી એવી ઉતાવળ હતી. પહેલીવાર કદી ના જોયેલા, ના રૂબરુ મળેલાં મિત્રોને મળવાની તાલાવેલી ખૂબ હતી અને એવા મિત્રોમાં લેખકો હતા તો મારા વાંચક અને ચાહક મિત્રો પણ હતા. કોણ મળશે અને કોણ નહિ મળે તેનો કોઈ અંદાઝ નહોતો. મિત્ર વિક્રમસિંહ એમની કારમાં કનોરીયા સેન્ટર પર ઉતારી સાંજે પાછા લેવા આવવાનું કહી ગયા.

પ્રવેશદ્વાર પર રાજકોટનો યુવાન નવલકથાકાર ભવ્ય રાવલ હાજર જ હતો. ભવ્ય અન્યાય સામે લડી લેનારો બાહોશ યુવાન છે. એનામાં મને બહુ શક્યતાઓ દેખાઈ રહી છે. અંદર ગયા પછી ધીમે ધીમે એક પછી એક યુવાન મિત્રો મળવાનું શરુ થયું. લગભગ ચારેક જગ્યાએ જુદા જુદા સત્ર ચાલતા હતાં. યુવાન જેનામાં ખૂબ સંભાવના દેખાઈ રહી છે તેવો સ્તંભ લેખક અભિમન્યુ મોદી મળ્યો. અભી બહુ સારો લેખક છે. ક્યારેક મારો નહિ મારી વાતોનો વિરોધ કરતો હોય છે પણ એ તો ઉમદા નિશાની છે. જુના ખડૂસ લેખકો કરતા અભિમન્યુ મોદીને વાંચવો સારો એવું મારું અંગત માનવું છે. અભી જેવો જ સીટી ભાસ્કરનો યુવાન ઉત્સાહથી ભરેલો પત્રકાર તુષાર દવે મળ્યો. હવે યુવાન શબ્દ લખવો નથી લગભગ ૯૯ ટકા યુવાન મિત્રો જ મળ્યા હતા. હું હમેશાં ફેસબુક પર તરોતાજી તસવીરો મૂકતો હોઉં છું એટલે મિત્રોને ઓળખવામાં જરાય તકલીફ પડે નહિ છતાં સાવચેતી ખાતર કોઈ કોઈ મિત્રો પૂછતા. વખાણ કોને ના ગમે? મિત્રો એક પછી એક પ્રસંશાનાં  પુલ બાંધે જતા હતા અને મારા મગજમાં  પ્રેમ અને વિશ્વાસ જનક રસાયણ ઓક્સિટોસીન સાથે પારિતોષક મળતા હર્ષ અનુભવાય તેને જવાબદાર રસાયણ ડોપમીનનાં ફુવારા વછૂટે જતાં હતા જે અનહદ ખુશી અર્પતા હતા.

વચમાં એક વાત કહી દઉં મિત્રોને ચહેરા પરથી તો તરત ઓળખી જવાય પણ એમના કદ, કાઠી અને વર્ણ વિશેના અનુમાનો ખોટા પડતા હોય છે તેવું મેં અનુભવ્યું. અને આવો જ મહાન વિચાર મારી સાથે દીપક સોલિયા સાહેબને આવેલો જે એમના લખાણ પરથી જાણ્યું. બે સરખા સ્તરના લોકોને સરખાજ વિચારો આવી શકતા હોય છે, ભલે સમય જુદો હોય. મેધા જોશી અને શીતલ દેસાઈ તો જેવા ધારેલા તેવા જ નીકળ્યા ચાલો એમાં હું ખોટો ના પડ્યો. અમુકમાં હું ખોટો પણ પડ્યો. ખોટો પડ્યો મતલબ નિયમ સાચો છે. મેધા મનોગ્રામ લખે છે બહુ સરસ વાંચવા જેવું.

મેં વર્ષો સુધી સંદેશ દૈનિક મંગાવેલું. પૂર્તિ આવે એટલે પ્રથમ પાનાની મુખ્ય લીટીઓ વાંચી તરત ઊંધું ફેરવી પહેલી ફિલમની ચિલમ વાંચવાનો મારો નિયમ રહેતો અને તે લખનાર આદરણીય સલિલ દલાલ સાહેબને મળીને ખુબ આનંદ થયો. રમૂજી, હસમુખ ચહેરો ઊંચા કદ-કાઠી અને ગૌર વર્ણ ધરાવતાં મેં ધારેલા તે જ પ્રમાણે સલિલ દલાલ સાહેબ રૂબરુ મળશે વાતો કરશે એમના પુસ્તકો પર મારા માટે પ્રિય બાપુ લખીને હસ્તાક્ષર સાથે મને આપશે તે મેં કદી ધારેલું જ નહિ. પ્રિય બાપુ પછી એમણે મારા માટે શું લખેલું તે હું નહિ કહું ગુપ્ત વાત છે. એમણે ફિલમની ચિલમ લખવાની બંધ કરી પછી મેં એવી ચિલમો પીવાની બંધ કરી દીધી. એમની કુમાર કથાઓ અહિ અમેરિકા આવ્યા પછી મેં વાંચવાની પૂરી કરી દીધી. સાહિત્ય અને ફિલ્મી ગોસીપ ભેગું વાંચવું હોય તો સલિલ ઠક્કરને વાંચવા જોઈએ.

પહેલા દિવ્યભાસ્કર અને હવે સંદેશમાં લખતા દીપક સોલીયા સાહેબ સાથે પણ ખુબ વાતો કરી, એમની ઓળખાણ આપવાની ના હોય. એમના સ્વભાવની સૌમ્યતા એમના લખાણોમાં પણ કાયમ છલકાતી હોય છે. પહેલા ગુજરાત સમાચાર અને હવે દિવ્યભાસ્કરમાં લખતા ઉર્વીશ કોઠારીને ધારેલા તેનાં કરતા યુવાન અને પાતળિયા લાગ્યા. હું એમના લખેલા નીડર બ્લોગની અવારનવાર મુસાફરી પણ કરી આવું છું. ઉર્જાથી ભરપુર મિત્ર ધૈવત ત્રિવેદી પણ મળ્યા. એક રાષ્ટ્રપ્રેમ થી છલકાતાં વોટ્સેપ સમૂહમાં હું ને ધૈવતભાઈ સાથે હતાં.

માતૃભાષા પ્રત્યે પ્રેમ સહુને હોય છે પણ તે પ્રેમ વાણી સાથે આંખોમાં, હાવભાવમાં, અંગોના ઉછાળામાં, હોઠના વળાંકમાં, આંખોના ઉલાળામાં, શબ્દોચ્ચારના આરોહમાં અવરોહમાં, અટ્ટહાસ્યમાં ઉછાળતા તદ્દન નૈસર્ગિક એવા મુર્તઝા પટેલ આવ્યા ને વાતાવરણ જીવંત બની ગયું. શબ્દે શબ્દે મારી ભાષા અને મારા માનવી એવો અહેસાસ કરાવતા મુર્તઝા પટેલ છેક કેરો ઈજીપ્ત થી આવીને ખરેખર ગદગદિત કરી ગયા. મને મજાક કરવાની થોડી વધારે પડતી આદત છે. મુર્તુઝાને મેં કહ્યું જેસીકૃષ્ણ ઉપરથી જીસસ ક્રાઈસ્ટ પડ્યું તેમ મુરત જો તો જા ઉપરથી મુર્તુઝા પડ્યું છે. તો હસી હસીને મુર્તુઝા બેવડ વળી ગયા.

સિવીલ એન્જીનીયર પ્રાધ્યાપક અધીર અમદાવાદી મળ્યા. તો એમના ભાઈ બધીર પણ મળ્યા. ખુબ વાતો થઈ.  આ નાગરો જન્મજાત બુદ્ધિશાળી અને મેનેજર હોય છે એમાં કોઈ શક નહિ. સેજલ પટેલ અને એની નાનકડી ટીમ સાથે બહુ વાતો કરીને કોફી પણ પીધી. અને પછી મીઠડો મારો મિત્ર જય વસાવડા આવે એટલે વ્યવસ્થા ખોરવાઈ જાય તે હદે યુવાનોના યુવતીઓના ટોળા દોટો મુકે એમાં કોઈ શક નહિ. એમના સવાલ-જવાબનું સત્ર પૂરું કરી અમે ગુજરાતી સાહિત્યોત્સવનાં પવિત્ર સ્થળ પરથી વિદાય લીધી.

લગભગ સતત ઉભા રહીને મારા ચાહક વાચક યુવાન યુવતીઓ સાથે વાતો કરી કરીને થાકી ગયેલો. ખુબ મિત્રો મળ્યા બધાના નામ યાદ પણ નથી રહ્યા. તમામ મિત્રોનો ખુબ ખુબ આભારી છું. કારણ મિત્રો છે તો હું છું. શરીરે થાકેલો પણ મારા ચેતાતંત્ર પ્રમાણે ખુબ તાજગીભર્યો હતો. કારણ હતું બ્રેનમાં છુટેલા ઓક્સિટોસીન, ડોપમીન અને સેરેટોનીન ફુવારા.. પછીના દિવસે અંગત સ્વજનના મૃત્યુ નિમિત્તે વ્યસ્ત હોવાથી અવાયું નહિ, પણ આ સાહીત્યોત્સવ ખુબ આવકારદાયક છે અને યુવાન મિત્રો પુષ્કળ હાજરી જોઈ થયું કે ગુજરાતી સાહિત્યનુ ભવિષ્ય ખુબ ઊંચું છે, ડરવાનું કોઈ કારણ છે જ નહિ.

વધુ આવતે અંકે…..

 

1457589_10206405276423426_3757653300764189518_n

Miss you મા ભારતી – ૧

 

 

 

Miss you  મા ભારતી – ૧

ભારતમાતા કોઈ સદેહે હરતી ફરતી સ્ત્રી નથી. આ એક વિભાવના છે. મૂળ તો જમીનનો એક બહુ મોટો ટુકડો જ છે. પણ એ જમીનનો એક ટુકડો માત્ર નથી. એના ઉપર ઉગેલું ધાન ખાઈને જીવન ટકાવીએ છીએ. માતૃભૂમિ મધરલેન્ડ પ્રત્યે એક માતા સરીખું માન હોય છે. માતા ધવડાવીને બાળકને મોટું કરે છે તેમ મધરલેન્ડ પર ઉગેલું અનાજ ખાઈ મોટા થઈએ છીએ. માટે ધરતીને માતા કહીએ છીએ. એક ભાવ છે. માતા તરીકે એક પ્રતિક છે. જનમ આપનારી માતા માટે કોઈ મૂરખને જ માન ના હોય. એમ જ માતૃભૂમિ માટે કોઈ મૂરખનેજ માન નાં હોય.

વંદે માતરમ નો સીધોસાદો અર્થ શું થાય? માતાને વંદન. કોઈ મુસલમાન એની માતાને આદાબ નહિ કહેતો હોય? ભારત માતા શું છે? ભારત નામના દેશની જમીન, કે તે જમીનમાંથી પાકેલું અનાજ ખાઈને જીવીએ છીએ. માતા ધવડાવીને જીવાડે છે તેમ આ જમીન એમાંથી અનાજ પકવીને જીવાડે છે. તો એને માતાનું પ્રતીક માન્યું તો એમાં વાંધો શું આવ્યો અને એની જય બોલાવી તો વાંધો શું પડ્યો? મૂરખાઓ છે જે આવા શાબ્દિક અર્થ-અનર્થ કરી વિવાદ ખડા કરે છે.

અરે ભાડાના ઘર પ્રત્યે પણ મમતા બંધાઈ જતી હોય છે તો આતો તમારી માતૃભૂમિ છે. માતાની છાતીમાંથી દૂધના ફુવારા ઉડે  છે અને ધરતી માતાની છાતી ચીરી ફસલ પાકે છે ત્યારે તમે જીવતા છો બાકી ક્યારના મરી પરવાર્યા હો…

માતુશ્રી સીતાબા આશરે ૯૨-૯૩ વર્ષના હશે. એમની તબિયત પણ બહુ સારી નથી રહેતી તેવા સમાચારે મનમાં ઉથલપાથલ થયા કરતી હતી. જેણે એના થાનમાંથી ત્રણ ત્રણ વર્ષ મને અમૃત સિંચ્યા છે અને એટલે જ આજ સુધી જીવ્યો હોઉં કે બુદ્ધિ પામ્યો હોઉં તો એને મન ભરીને મળી તો લઉં. મૂળે વાસ્તવવાદી સ્વભાવ એટલે થયું કે આ છેલ્લો ચાન્સ છે માતાને જોઈ લેવાનો. ફરી આવું ત્યારે હોય કે ના પણ હોય. ભારતમાતા તો અજરામર છે. હું મરી જઈશ તે મરવાની નથી. પણ મને જનમ આપનાર સીતાબા અજરામર નથી.

બાય ધ વે મારે ખરેખર ત્રણ માતાઓ છે. એમાં એક હતી કહેવાય અને બે હાજર છે, અને એમાંથી એક(ભારત) કાયમ હાજર રહેવાની છે. હતી એમને અમે મોટલી એટલે મોટી મા કહેતા. આ મોટી મા બહુ લાડ-પ્યાર કરતી. આખો દિવસ કેડમાં તેડીને ફર્યા કરતી. ભાવતા ભોજન જેવા કે સુખડી કે શીરો બનાવી ખવડાવતી. એણે એની કૂખે જનમ નહોતો આપ્યો પણ પ્રેમ આપવામાં પાછી નહોતી પડી. એને યાદ નો કરું તો નગુણો કહેવાઉં.

બસ એમ જ મિત્રો, સગાસંબંધીઓ, ભાઈઓ, બહેનો અને માતા સાથે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગદપી ગરીયસીને મળવાની પણ બહુ તાલાવેલી હતી. એટલે ટિકિટ તો બહુ વહેલી બુક કરાવી જ દીધી હતી. છેવટે એ દિવસ આવી પહોચ્યોને તારીખ ૬ જાન્યુઆરી ૨૦૧૬નાં દિવસે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બેસી પણ ગયેલો. પ્લેન ઉપડે પછી મારો કાયમનો મોબાઈલ ઓફ થઈ જવાનો હતો માટે પ્લેનમાં બેસી એક ફોટો પાડી ફેસબુકમાં મૂકી પણ દીધેલો જેથી મિત્રોને જાણ થઈ જાય કે બાપુની સવારી પધારી રહી છે. ફ્લાઈટ નોનસ્ટોપ મુંબઈ સુધી તો હતી જ. કમનસીબે સીટ આગળ રહેલો સ્ક્રીન બગડેલો જેથી કોઈ મુવી કે એવું બીજું કશું જોઈ સમય પસાર કરવાનું કોઈ સાધન મળ્યું નહિ. એરઇન્ડિયાની એટલી ખામી તો કહેવાય જ. ઘેર આવવાની અને વતનમાં બધાને મળવાની ઉત્તેજના એટલી હતી કે આ હેવી ડ્રીંકરે પ્લેનમાં મળતા ફ્રી શરાબની મોજ માણવાનું મુલતવી રાખી ફક્ત સોડાથી ચલાવી લીધું હતું… ભોજનમાં હવે ખાસ રસ રહ્યો નથી. જે મળે તે ખાઈ લેવાની માનસિકતા થઈ ચૂકી છે. ૧૭-૧૮ કલાકમાં ચારેકવાર ખાવા યેનકેન પ્રકારે મળે તો ખવાતું પણ નથી.

સતત બેસીને પગ અકળાઈ જતા હતા તો થોડું ફરી લેવાનું મન થતું. એક ઉંચાઈએ પહોચ્યા પછી પ્લેન સ્થિર હોય એમ જ લાગે. જેના આગળની સીટના સ્ક્રીન ચાલુ હોય તે કોઈ મુવી કે કપિલના કોમેડી શો જોઈ અથવા ઊંઘીને ટાઈમ પાસ કરતા હતા. પ્લેનમાં રાતદિવસની બહુ સમજ પડે નહિ. દિવસ હોય તો દિવસ જ રહે ને રાત હોય તો રાત જ રહે. મુંબઈ આવ્યું ત્યારે રાત પડી ચૂકી હતી. પેસેન્જર ઉતર્યા અને નવા બેઠા એમાં બે કલાક બીજા વીતી ગયા. અમદાવાદની સાત જાન્યુઆરીની રાતે આશરે નવેક વાગ્યે ઉતરાણ થયું. બેગો વગેરે આવતા બીજો દોઢેક કલાક વીતી ગયો પછી બધું લઈને એરપોર્ટ બહાર નીકળવાનું બન્યું. કોણ લેવા આવ્યું હશે ખબર નહોતી. આશા હતી નાનાભાઈ હાજર હશે પણ તેઓ ઘેર રોકાઈ ગયા હતા. જુના મિત્ર વિક્રમસિંહ રાણાને હાથ હલાવતા જોયા. એટલે ખબર પડી ગઈ કે તેઓ જ લેવા આવ્યા છે. તો બહાર કૃણાલસિંહ બુકે લઈને ઉભા હતા. છ ફૂટિયા જાયન્ટ કૃણાલસિંહ પગે પડ્યા તો એરપોર્ટ પર ઘણા બધાની આંખો ચાર થઈ ગયેલી જોઈ અને ભારતમાં ખૂબ માનસન્માન મળવાનું છે તેનો આ પહેલો ચમકારો જણાઈ આવતો હતો. …. વધુ આવતા અંકે…

 

cmdv12507392_10206380413601871_262852003224427_n

“ચલમનો ભડકો”

Indian Sadhu smoking weed“ચલમનો ભડકો”

રામખિલાવન મહારાજની ગાંજો પીવાની શૈલી અદ્ભુત હતી. ઊભી ચલમ મુખના એક ખૂણે લગાવીને સતત ગાંજાના કસ ખેંચતા રહેતા, હોઠના ખૂણે થી ધુમાડાના ગોટે ગોટ નીકળતા રહેતા.એક શ્વાસે કસ ખેંચતા  ખેંચતા ચલમ ઉપર ભડકો થઈ જાય ત્યારે કસ ખેંચવાનું બંધ કરી, મીનીટો સુધી મુખમાંથી ધુમાડા કાઢે જતા. જોઇને આજુબાજુ બેઠેલા ભાવિક ભક્તો અહોભાવથી મંત્ર મુગ્ધ થઈ જતા. ઈડર પાસેના એક અંતરિયાળ ગામની સીમમાં જશુભાઈનું બાપીકું ખેતર હતું. ખેતરમાં એક કૂવો હતો. એમાંથી પાણી ખેંચવા એક ઇલેક્ટ્રિક મોટર મૂકેલી તેને સાચવવા ઓરડી બનાવેલી હતી. બાજુમાં એક નાનું  લીમડાનું વૃક્ષ હતું. રામખિલાવન મહારાજ આ લીમડા નીચે ક્યારે અવતર્યા કોઈને ખાસ ખબર નહોતી. આ વિસ્તારમાં ચોમાસામાં ખેતી થતી. શિયાળામાં ક્યારેક કૂવામાં પાણી સારું હોય તો થોડા ખાવા જેટલા ઘઉં પકવી લેવાતા. ઉનાળો સાવ સુક્કો ભંઠ પસાર થતો. કાળી પણ કાંકરાવાળી જમીનમાં કપાસ સારો થતો. ચોમાસામાં કઠોળ પણ સારું થતું. ઉનાળામાં કશું કામ નહિ હોય તો જશુભાઈ એકાદ અઠવાડિયું ખેતરમાં આવેલા નહિ. જ્યારે આવ્યા ત્યારે રામખિલાવન અહી લીમડા નીચે  બેઠાં બેઠાં ચલમના કસ ખેંચતા હતા. આધેડ ઉંમર, પાતળી ઊંચી દેહયષ્ટિ, કાબરચીતરી દાઢી, માથે એવી જ અંબોડી વાળેલી જટા, કાળો વાન. પહેલી નજરે બાવો આંખોને ગમે તેવો હતો નહિ. જશુભાઈ પણ વિચારતા હતા કે આ લપ અહી ક્યાં પેઠું? પણ મૂળ ધાર્મિક માણસ અને પહેરવેશનું માન જાળવવા રામ રામ બાપજી કર્યા. સામેથી પણ જવાબ મળ્યો જય રામજીકી.

‘બાપજી ક્યાંથી પધારવાનું થયું?’

‘સબ ભૂમિ ગોપાલકી,હમારે લિયે સબ જગા ભગવાનકી હૈ.’

‘બાપજી, હું તો ચાર દિવસથી આવ્યો નહોતો, આજે જ આવ્યો છું, ભોજન વગેરેનું શું કર્યું?’

‘રામ ખિલાવે તો ખાના વરનાં ઉપવાસ સમજી લેવાના. મેરા તો નામ હી રામખિલાવન હૈ.’

 

બાપજી હિન્દી મિશ્રિત ગુજરાતી બોલતા હતા. જશુભાઈને દયા આવી કે બાપજી મારા ખેતરમાં ભૂખ્યા બેઠાં છે, સારું ના કહેવાય. જો કે ગામ થી ખેતર ઘણું દૂર હતું પણ થાય શું? જશુભાઈ મારતે ઘોડે ઘેર ગયા. ભોજન લઈને પાછાં આવ્યા. ભોજન પતાવી આશીર્વાદ આપી મહારાજે ચલમ ભરી થોડા કસ ખેંચીને જશુભાઈને ધરી દીધી. જશુભાઈ આમેય બીડીના કસ તો ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય ગણાતા વ્યસનથી ટેવાયેલા હોઈ ખેંચતાં રહેતા. મહારાજની ચલમમાં કઈ જુદોજ આનંદ હતો. બસ લાગ જોઇને મહારાજે કહી દીધું કે બચ્ચા થોડે દિન યહી રહેના હૈ, બાદમે ચલા જાઉંગા. જશુભાઈએ સંમતિ આપી દીધી કે અપાઈ ગઈ કશું એમને જ સમજાયું નહિ. રાત્રે ઓરડીમાં સુવાની વ્યવસ્થા થઈ ગઈ. આખો દિવસ મહારાજ રામચરિતમાનસની ચોપાઈ ગાયા  કરતા, અને ચલમ ખેંચે રાખતા. જશુભાઈ પણ હવે નિયમિત આવતા થઈ ગયેલા. ભોજન પણ લેતા આવતા. આમેય હવે ઉનાળો પૂરો થવા આવેલો. કપાસ વાવવાની તૈયારી કરવાની હતી. દર ઉનાળે બોરડીના જાળાં આખા ખેતરમાં વધી જતાં. તેમને ખોદીને દુર કરવા પડતા. ખેતરમાં કામ હતું એટલે નિયમિત સવાર સાંજ આવવું પડતું. ઘણી વાર ગામથી ખેતર દૂર હોવાના કારણે સવારે આવતા તો સાંજે જ જતાં. કોઈ વાર અંધારું  પણ થઈ જતું. એવે ટાણે બપોરે જશુભાઈની દીકરી મંજુલા બપોરનું ભાતું લઈ આવતી.

 

સોળ વરસની મંજુલા ભણવામાં કઈ ઉકાળી શકેલી નહિ. એસ.એસ.સી.માં નાપાસ થવાથી સ્કૂલમાંથી ઉઠાડી  મૂકેલી. ખેતરમાં અને ઘરકામમાં મદદ કરતી. કોઈ સારો વર મળી જાય તો પરણાવી ઠેકાણે પાડી દેવી એવું વિચારતા હતા. મંજુલા બહુ દેખાવડી તો નહોતી શરીરે પણ દૂબળી પાતળી હતી.
રામખિલાવન મહારાજ ધીમે ધીમે અહીં જામી પડ્યા હતા. જશુભાઈ એમના ભક્ત બની ગયેલા. હવે બાપજીની ચલમ વગર ચાલતું નહોતું. એક અલગ ઓરડી પણ એમની બની ગઈ હતી. એના ઉપર ધજા પણ લાગી ગયેલી. ભક્તો પણ વધવા લાગેલા. મહારાજ સુંદર રીતે ચોપાઈ ગાતા, ધર્મ ધ્યાનની વાતો કરતા. કોઈના દુખ નિવારણ માટે પ્રયત્નો પણ કરતા. નાના મોટા આશીર્વાદ આપવાનું સામાન્ય હતું. એમાં અકસ્માતે કોઈનું કામ થઈ જતું તો એને બહેલાવી બહેલાવીને કહેવામાં આવતું. ભક્તોને ખાસ તો બાપુની ચલમ ફરતી ફરતી એમની પાસે ક્યારે આવે તેનું ખાસ ધ્યાન રહેતું. ઓરડી નાની પડતા બીજી મોટી ઓરડી પણ ચણાઈ ગઈ અને એની ઉપર “રામખિલાવન આશ્રમ” પણ લખાઈ ગયું. નવી ઓરડી વળી ભોંયરાની  સગવડવાળી બની ગઈ હતી. બાપજી સવારે ભોંયરામાં સાધના કરતા. ભોંયરામાં કોઈને પ્રવેશ નહોતો, ખાલી જશુભાઈ જઈ શકતા અને દીકરી મંજુલા સાફસફાઈ કરવા જતી. કોઈવાર આ લોકોના દેખાતા ઉટપટાંગ આસનો કરતા. જશુભાઈ પૂછે કુતૂહલ વશ થઈને તો કહેતા કે યોગ કરતા હું, ધ્યાન કરતા હું, સાધના કરતા હું. ભગવાન કે સાથ તાર જોડા રહા હું.
જશુભાઈને ઓણસાલ વરસાદ સારો થવાથી કપાસ તો સારો થયેલો, પણ શિયાળામાં કૂવામાં પાણી પણ સારું ચાલ્યું. એના કારણે ઘઉં અને થોડી વરિયાળી પણ સારી થઈ. બધું બાપજીની સેવાને કારણે થયું એવું મન માનવા લાગેલું. બાપજીની ચલમ પીવાની અદ્ભુત આવડતથી  જશુભાઈ સંમોહિત હતા. એમના જેવો ચલમ ઉપર  ભડકો કોઈ કરી શકતું નહિ. જો કે તમાકુમાં ચરસ અને ગાંજો ઉમેરાતો તેનાથી બધાને એમની ચલમનું   વ્યસન થઈ ગયેલું. હવે બાપજીની ચલમ મફત ના પિવાય તેથી પૈસા પણ લોકો દાન તરીકે આપતા. રાત્રે શંકાસ્પદ માણસો આવતા. અને બાપજી જોડે ભોંયરામાં મંત્રણાઓ કરી ચાલ્યા જતાં. કોઈવાર રાતવાસો કરવા આવતા જશુભાઈને બાપજી ખુલાસો કરી લેતા કે મેરે ભક્તજન હૈ, દૂરસે આતે હૈ. ધીમે ધીમે જશુભાઈએ પણ રાતવાસો  કાયમનો કરી નાખેલો, એનું મૂળ પેલી ચલમ હતી. જશુભાઈને પણ ખબર તો પડી ગયેલી કે ચલમમાં ગાંજો હોય છે પણ હવે એનાથી છૂટવું નહોતું. આખો દિવસ ચમત્કારની વાતોમાં જશુભાઈ રમમાણ રહેતા, અનાયાસે બાપજીના એજન્ટ બની ચૂક્યા હતા.
બાપજી કહેતા કે દેખ જશું થોડે દિનમેં યહાં તેરે ખેતમે પ્લેન ઉતરેંગે. બહોત બડે નેતા લોગ આયેંગે. જશુભાઈ અહોભાવથી જોઈ રહેતા. બાપજી ફેંકવામાં નંબર એક હતા. જશુભાઈ અહોભાવથી મોહિત બની રહેવામાં નંબર એક હતા. એકવાર બાપજીએ જશુભાઈને કહ્યું અબ મંજુલા બેટીકો હમ યોગ શીખાના માંગતા હૈ. દેખના લોગ તેરી બેટીકે પાવ પડેંગે. મુજે ઉસકા ભવિષ્ય બહોત ઉજ્જવળ દેખાઈ દેતા હૈ. લોગ ઉસે ગુરુમાઈ કહેકર પુકારેંગે. જશુભાઈ તો ખુશ થઈ ગયા. મારા અહોભાગ્ય કે મારા ઘેર આવી દીકરી અવતરી. પહેલા તો અભાગણી  કહેતા હતા. મંજુલાએ શરૂમાં તો કઈ શીખવું નથી કહી ના પાડી. પિતાનો આદેશ અને મંજુલા ભોયરામાં યોગના આસનો શીખવા લાગી. દીકરી વહેલી સવારે આઠ વાગે ખેતરમાં હાજર થઈ જતી. શરૂમાં પિતાના દેખાતા બાપજી આસનો શીખવતા. પછી ધીમે ધીમે જશુભાઈને બંધ કર્યા કે હવે આગળની સાધનામાં કોઈની હાજરીથી વિક્ષેપ પડે. કલાક પછી બાપજી ઉપર આવી જતાં અને જશુભાઈને કહેતા જાવ બેટીકા દર્શન કરકે આવ કૈસા ધ્યાન લગ ગયા હૈ? ભગવાનકે સાથ તાર જૂડ ગયા હૈ. અવાજ મત કરના. જશુભાઈ નીચે જઈ આંખો બંધ કરી પદ્માસનમાં બેઠેલી બાપજીએ બુઝાવેલી આગ અને પ્રાપ્ત ચરમસીમાને લીધે એકદમ શાંત સમાધિસ્થ બેટીને પગે લાગી આવી જતાં. અહોભાવમાં વધારો થઈ જતો.
જેમ જેમ મંજુલાની સાધના આગળ વધતી જતી હતી તેમ એનું રૂપ ખીલવા માંડ્યું હતું. શરીર પણ ભરાવા માંડ્યું હતું. મંજુલા હવે શરીરનું ધ્યાન વધારે રાખતી થઈ ગઈ હતી. હોઠ પર લાલી પણ લગાવતી થઈ ગઈ હતી. જશુભાઈ વિરોધ કરતા તો બાપજી રોકતાં બચ્ચીકો મત દાટો સાક્ષાત્ જોગમાયા દીખતી હૈ. બાપજી આગળ જશુભાઈનું  કશું ના ચાલતું. પાછું સવારે સાધના પછી જશુભાઈ ધ્યાન મગ્ન દીકરીને પગે લાગી આવતા એટલે તે જે કરે બધું યોગ્ય લાગતું. સવારે હવે સાધનાનો દોર ભોંયરામાં લંબાએ જતો હતો.. ઉપર આવીને બાપજી ચા પાણી કરતા. જશુભાઈ બધું તૈયાર રાખતા હતા. બાપજીની કાબરચીતરી મૂછોને લાગેલો લાલ લીપ્સ્ટીકનો રંગ ચામાં ઓગળવા પ્રયત્ન કરતો, રકાબીમાં રેડેલી ચામાં આડા અવળા રેલાઈ જતા લાલ રંગના દોરા જોઈ બાપજી ફરી ઉત્તેજિત થઈ જતા પણ જશુભાઈને એ રંગ ક્યાંથી દેખાય? સીધા દોટ મૂકીને ધ્યાનસ્થ દીકરીને પગે લાગવા દોડી જતાં.
વરસ પછી આજે આશ્રમ ઉજ્જડ છે. રાજયોગ કે કામયોગ? એવું વિચારતું સાક્ષી એવું ભોંયરું ખાલી પડી રહ્યું છે. ”રામખિલાવન આશ્રમ” લખેલા પર કાળો કૂચડો ફેરવાય ગયો છે. જશુભાઈ વિલા મોઢે, આંખના ખૂણે એક અશ્રુ બિંદુ જાળવી એકલાં લીમડા નીચે બેઠાં હોય છે, જ્યાં પહેલીવાર બાપજી અવતરેલા. વહાલસોઈ દીકરી માટે હવે વર શોધવાની પળોજણ રહી નહોતી, બંને અદ્રશ્ય થઈ ચુક્યા હતા.

 

બાપજી એક શ્વાસે જે ચલમ ખેંચતાં ઉપર ભડકો થઈ જતો તે જોઈ જશુભાઈ સહીત અનેક ભક્તોની આંખોમાં અહોભાવ છલકાઈ જતો.

 

રામખિલાવન મહારાજની ગાંજો પીવાની શૈલી અદ્ભુત હતી.
નોંધ:-મિત્રો સત્યઘટના ઉપર આધારિત વાર્તા છે.

 

રાઓલ ભૂપેન્દ્રસિંહ આર.

એડીસન…

પ્રતિબુદ્ધિવાદ, anti-intellectualism

105228Image1પ્રતિબુદ્ધિવાદ, anti-intellectualism

વિજ્ઞાન ભણવું અને વૈજ્ઞાનિક અભિગમ રાખવો બંને ભિન્ન છે. આપણા વૈજ્ઞાનિકોમાં પણ વૈજ્ઞાનિક અભિગમ હોતો નથી. એટલે એજ્યુકેશન અને વૈજ્ઞાનિક અભિગમ અને રેશનલ અભિગમને કશું લાગેવળગે નહિ. પણ જે દેશોમાં એજ્યુકેશન સાથે વૈજ્ઞાનિક અને રેશનલ અભિગમ છે ત્યાં ધર્મ ચોક્કસ નબળો પડ્યો છે જેવા કે સ્કેન્ડીવિયન દેશો. હિન્દુત્વ જીવન જીવવાની એક રીત એક તરીકો છે તેના બદલે આપણે ધર્મ માની બેઠાં છીએ. મને હિંદુ નિરીશ્વરવાદી કે હિંદુ નાસ્તિક તરીકે ઓળખાવતા જરાય શરમ આવતી નથી. કારણ મારા પૂર્વજ હિંદુ મનીષીઓએ જ દુનિયાને નિરીશ્વરવાદ અને રેશનાલીઝમ શીખવ્યું છે. આપણે ત્યાં લગભગ એન્ટી-ઈન્ટેલેકચ્યુઆલીઝમ ચાલે છે, પ્રતિબુદ્ધિવાદ. બુદ્ધિવાદી હોવું આજના ભારતમાં ગાળ સમાન છે. આપણા લેખકો, કવિઓ, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, શિક્ષકો, શિક્ષણશાસ્ત્રીઓ એવા અનેક કહેવાતા ઈન્ટેલેકચ્યુઅલ ખરેખર એન્ટી-ઈન્ટેલેકચ્યુઆલીઝમમાં માનતા છે. એ આ દેશની બહુ મોટી કમનસીબી છે. આપણે ત્યાં વેદો માન્ય દર્શન શાસ્ત્રોની છ સ્કૂલ હતી. સાંખ્ય જે નિરીશ્વરવાદી હતું, યોગ, વૈશેષિક, ન્યાય, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. ઉત્તર મીમાંસાથી ઈશ્વરભાઈ ઘૂસ્યા છે. કેટલા બુદ્ધિશાળી હતા એ લોકો? ઈશ્વરમાં નાં માનવું, ઈશ્વરનો ઇનકાર પણ વેદો માન્ય હોવાથી આસ્તિક કહેવાતા. કેટલી ઓપનનેસ હતી એ લોકોમાં?

અને આજે? તમે ઈશ્વરની કલ્પનામાં નાં માનતા હો તો તમને નાલાયક સમજવામાં આવે છે ભલે તમે નૈતિક હો. અને તમામ અનૈતિકતાઓ આચરતા હો પગની પાનીથી માથાની ચોટલી સુધી ભ્રષ્ટાચારી હો પણ કૃષ્ણને ભગવાન માનો તો તમે સારા છો. કૃષ્ણ મારે માટે એક મહા માનવ છે, ઈશ્વર થઈને જીવેલો માનવી છે. ભલે કૃષ્ણ માટે મને ખૂબ પ્રેમ હોય પણ જો હું કૃષ્ણને ભગવાન નાં માનું તો મૂર્ખાઓ મને પથ્થર લઈ મારવા દોડશે અને એવા લોકો જે કૃષ્ણ વિષે કશું જાણતા જ નથી.

મુસ્લિમ દેશોની તો વાત જ નાં કરશો. મુસ્લિમ દેશો તો લગભગ સંપૂર્ણપણે પ્રતિબુદ્ધિવાદ (એન્ટી-ઈન્ટેલેકચ્યુઆલીઝમ) તરફ ખેંચાયેલા જ છે. કાશ્મીરના અલગતાવાદી જુઓ. તાલીબાનો જુઓ. પેશાવરની સ્કૂલમાં હુમલો કરી નાના બાળકોને રહેંસી નાખ્યા. ISIS જુઓ, હવે તો આ લોકોએ નાના બાળકોની ત્રાસવાદી સેના બનાવી છે. એમના બ્રેનમાં બુદ્ધિ નામનું કોઈ તત્ત્વ બચપણ થી જ રહેવા દેવાનું નહિ. આ બાળકો પકડાયેલા સૈનિકનું માથું કાપતા જરાય કંપતા નથી. એકલાં ભારતમાં નહિ પણ અમેરિકામાં પણ આવું જ છે. અમેરિકાનો કોંગ્રેસમેન Congressman Paul Broun (R-Ga.)જે પોતે ડૉક્ટર છે, એમ. ડી. છે, વર્ષોથી ડૉક્ટર તરીકે પ્રેક્ટીશ કરે છે તે કહે છે, ‘ઉત્ક્રાંતિ, બીગ બેંગ બધું નરકના ખાડામાંથી આવેલુ જૂઠ છે.’ એના શબ્દોમાં “God’s word is true. I’ve come to understand that. All that stuff I was taught about evolution and embryology and the big bang theory, all that is lies straight from the pit of Hell.” આ ડૉક્ટરનું કહેવું છે બાયબલે કહ્યા પ્રમાણે છ દિવસમાં પૃથ્વીની રચના કરી છે. બીજા એક સેનેટ ઇન્વાયરમેન્ટલ પૅનલના ચેરમેન હાથમાં સ્નોબોલ લઈને ચેમ્બરમાં આવેલા અને કહે ક્લાઈમેટ ચેઇન્જ હોક્સ છે, મજાકમાં કરેલી છેતરપિંડી. આવા ભણેલા પણ ગણેલા નહિ એવા મોટા માથા અમેરિકામાં એન્ટી-ઈન્ટેલેકચ્યુઆલીઝમનાં પ્રણેતા છે. ત્રણમાંથી એક અમેરિકનને તેના વાઈસ પ્રેસિડન્ટનું નામ ખબર નથી.

આપણે જરા વિચારીએ તો કોમવાદ, ભડકાવનારી ધાર્મિકતા બધું નિરર્થક છે. પણ વિચારીએ તો ને? વિચારીએ જ નહિ તો પછી? એટલે જે લોકોને સામાન્ય પ્રજા ઉપર રાજ કરવા છે તે લોકો પહેલું તો પ્રજા વિચારે તે બંધ કરાવશે. કારણ તમે વિચારશો તો એમનું કહ્યું નહિ માનો. તમે દલીલો કરશો. તમે કારણ શોધશો. કાર્યકારણનો સંબંધ શોધશો. અને કોઈ કારણ જડે નહિ તો તમે એમની વાત કે આજ્ઞા માનવા ઇન્કાર કરશો. તો પછી એમના ધંધાનું શું? પણ આ પ્રતિબુદ્ધિવાદ એકંદરે સમગ્ર પ્રજાનો વિકાસ અટકાવશે. તે મૂરખ પ્રજાને ખબર હોતી નથી. જર્મનીમાં હિટલરે તે જ કરેલું. પ્રજાને hyper-patriotism નું અફીણ પિવડાવી દીધું. નાના બાળકો સહિત કાળજું કંપાવી દે, એક બે નહિ ૬૦ લાખ યહૂદીઓને જીવતા શેકી નાંખ્યાં. જો જરા એક બ્રેન ન્યુરોન્સ વાપરી વિચારો તો એક પણ માણસની હત્યા તમે કરી શકો નહિ.

જો તમે તમારા બ્રેન ન્યુરોન્સ વાપરી વિચારો તો એક કીડીને મારવામાં પણ તમને કોઈ તર્ક નહિ દેખાય. અને એવું વિચારવાની ક્ષમતા ધરાવનારને આપણે મહાવીર કહ્યા છે, બુદ્ધ કહ્યા છે. આપણે બધા Anti-intellectualism અને Iintellectualism વચ્ચે ઝોલા ખાતા હોઈએ છીએ. કારણ આપણું એનિમલ બ્રેન સર્વાઈવલ સિવાય બીજી કોઈ ભાષા જાણતું નથી. માટે તે પોતાના સર્વાઈવલ માટે કોઈની પણ હત્યા કરી શકે છે. તમે માની શકો એક માતા પોતાના સંતાનને મારી શકે? લાર્જ કોર્ટેક્સ, મોટા મગજ, વિચારશીલ બ્રેનમાં આ વાત ઊતરે નહિ. પણ બરોડાની પાસેના ગામમાં આવો બનાવ બનેલો જે સંદેશ છાપામાં આવેલો. એક માતાની એના પતિથી છાની એના પ્રેમી સાથેની કામલીલા એના સંતાન વડે અકસ્માતે જોવાઈ ગઈ. પકડાઈ જવાની બીકમાં માતાએ એના છોકરાના પગ પકડી રાખ્યા અને એના પ્રેમીએ પેલાં નાના છોકરાનું ગળું દબાવીને હત્યા કરી નાખી. આ હતું એનિમલ બ્રેન, નાનું મગજ, લિમ્બિક સિસ્ટિમ અથવા મેમલ બ્રેન, જે પોતાના સર્વાઈવલ માટે માતા-પિતા, ભાઈઓ-બહેનો કે સંતાનોની પણ હત્યા કરાવી શકે. મુગલ આજ કરતા હતા. જે બાપે જનમ આપ્યો હોય જે ભાઈઓ સાથે રમ્યા હોય તેની જ હત્યા કરતા. ઔરંગઝેબ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

અર્જુન શું હતો? Anti-intellectualism અને intellectualism વચ્ચે ઝોલા ખાતો હતો. સામે ભાઈઓ, ગુરુ, અને દાદા સહિત સગાઓ જ ઊભા હતા એમની સામે સર્વાઈવલ માટે લડવાનું હતું. એનું લાર્જ કોર્ટેક્સ નાં પાડતું હતું અને એનિમલ બ્રેન લડવા માટે ઉશ્કેરતું હતું. પણ એ વિચારશીલ વધુ હતો માટે કૃષ્ણ સામે દલીલો ઉપર દલીલો કરે રાખતો હતો. એક સમયે સગાઓને મારીને સર્વાઇવ થવા કરતા મોત પસંદ હતું એને. છેવટે રાબેતામુજબ કૃષ્ણે કહી દીધું મામેકં શરણં વ્રજ હું કહું તેમ કર, મારી શરણમાં આવી જા, શંકા કરીશ નહિ, નહિ તો તારો નાશ નક્કી છે. આજે પણ માબાપ સંતાનોને કહી દેતા હોય છે કહીએ તેમ કર બહુ ડાહ્યો થયા વગર. જે દાદાએ ખોળામાં રમાડ્યો હતો તેમની, જે ગુરુએ ભણાવ્યો હતો તેમની એવા તો બહુ બધાની હત્યા એણે કરી. એટલે તો મહાવીર જેવા intellectual ની સમજમાં આ વાત કદી ઊતરે નહિ. અર્જુનની જગ્યાએ મહાવીર હોત તો સામેથી કહી દેત મારે તસુભાર જમીન જોઈતી નથી હું તો આ ચાલ્યો વનમાં. અર્જુનને બુદ્ધિવાદ તરફથી પ્રતિબુદ્ધિવાદ તરફ ઘસડી જનારા કૃષ્ણ ભગવાન કહેવાયા. સર્વાઈવલ માટે ભલે જરૂરી હતું પણ ત્યારથી ભારત બુદ્ધિવાદનું પાકું વિરોધી બની ગયું હોય એવું લાગે છે.

જૂન ૧૭, ૨૦૧૫, Charleston, સાઉથ કેરોલીનામાં એક ચર્ચમાં આવા જ એક કોમવાદી અને રંગભેદીએ નવ લોકોને મારી નાખ્યા. રંગભેદ, કોમવાદ બુદ્ધિહીનતાનું પરિણામ છે. કહેવાતા ભણેલા ગણેલા લોકો પણ પ્રતિબુદ્ધિવાદી હોઈ શકે છે. દેશભક્તિ વખાણવા જેવી છે, પણ અંધ-દેશભક્તિ (hyper-patriotism) હું નથી માનતો કે વખાણવા લાયક હોય. કેટલાક અમેરિકનો અને મોટાભાગના કમજોર ભારતીયો બંને Hyper-patriotism થી પીડાય છે. જિંદગીમાં બંદુક પકડી નાં હોય એક સસલું એ માર્યું નાં હોય એવા ભારતીયો ખાસ દેશભક્તિ અને મારી નાખો કાપી નાખો ની વાતો કરતા હોય છે. ત્યારે મને હસવું આવે છે. મૂરખો લોહીની પિચકારી ઊડશે તો બેભાન થઈને ગબડી પડશો.. હહાહાહાહાહાહ

એક થડા(ગલ્લા) પર બેઠેલા વાણિયાની અહિંસા અને મહાવીરની અહિંસા વચ્ચે આભજમીનનો ફરક છે.

ટ્રેડિશનલ વેલ્યુસનાં વિરોધમાં ફૅક્ટ બેઝ સેક્સ એજ્યુકેશન આપવાનું ચૂકવાથી અમેરિકામાં ટીનેજરમાં પ્રેગનન્સીનું જોર ખૂબ વધ્યું છે. હું પહેલા પણ લખી ચૂક્યો છું. દુનિયાની બે સૌથી મોટી લોકશાહીઓ અમેરિકા અને ભારત બહુ ધાર્મિક છે. અને ધાર્મિક માન્યતાઓ ૯૦ થી ૯૯ ટકા ઇરેશનલ હોય છે, એમાં કોઈ બુદ્ધિ વાપરવાની હોતી નથી. ભણતર અને વૈજ્ઞાનિક સાક્ષરતાનો અંક અમેરિકામાં શરમજનક નીચો છે. તો ભારત અને મુસ્લિમ દેશોમાં તો વૈજ્ઞાનિક સાક્ષરતાનો અંક લગભગ ઝીરો છે. આપણા તો મિસાઇલ મેન તરીકે પ્રખ્યાત વૈજ્ઞાનિક આઠ ચોપડી ભણેલા પરમ મૂરખ સ્વામી પાછળ ગાંડા હોય. એવા વૈજ્ઞાનિકો દેશની યુવાન પેઢીને કયા આદર્શ શીખવશે? એમનું વર્તન યુવાનોને એવું જ અચેતનરૂપે શીખવશે કે ગમે તેટલા મહાન વૈજ્ઞાનિક બનો દેશના પ્રૅસિડેન્ટ બનો પણ એક અભણ મૂરખ અવૈજ્ઞાનિક ખ્યાલો ધરાવતા બાવાના પગમાં પડો. માબાપનું વર્તન જોઇને સંતાનો અચેતનરૂપે બધું શીખતા હોય છે. આવા સેલીબ્રીટીનું વર્તન જોઇને સમાજ શીખતો હોય છે. સમાજ શીખશે, સમાજના યુવાનો શીખશે કે કહેવાતા સ્કીલ્ડ લેબરની જેમ વૈજ્ઞાનિક બનો અને આઠ ચોપડી ભણેલા સમાજને બીમાર બનાવતી માન્યતાઓ ફેલાવતા બાવાના પગમાં પડો.

આપણા તો પીએમ શુદ્ધા બહુ સારા લીડર હોવા છતાં એન્ટી-ઈન્ટેલેકચ્યુઆલીઝમને સપોર્ટ કરતું વર્તન કરશે. પ્રતિબુદ્ધિવાદને અનુસરીને સુખડ-ઘીના દાન કરશે. જાણતા હોય પણ મોટાભાગની પ્રજા જ એન્ટી-ઈન્ટેલેકચ્યુઅલ હોય ત્યાં એને ખુશ રાખવા એશોઆરામ જેવા હરામખોરના પડખે ચડશે. પછી માઇક પકડી એશોઆરામ કહેશે કેવો સરસ મેળ પડ્યો. ધર્મસત્તા અને રાજસત્તા ભેગાં મળે એટલે પ્રજાનો બેડો પાર થઈ જાય. અલ્યા મૂરખ ધર્મસત્તા અને રાજસત્તા ભેગાં મળે તો પ્રજાનું સત્યાનાશ વળી જાય તેની તને ક્યાં ખબર છે? ‘હું તો કેદુ નો કેતો તો મારો શિવો મને મળી ગયો.. શિવો આજે દિલ્હીનાં દરબારમાં છે અને પોતાને સમર્થ સ્વામી રામદાસ જોડે સરખાવનાર જેલમાં. હહાહાહાહાહા

મૂળ તકલીફ છે પ્રજા એના બ્રેન ન્યુરોન્સ વાપરતી નથી, વિચારતી નથી, વિચારવાની પ્રક્રિયા એની સમજમાં જ આવતી નથી. કારણ વિચારવાની બારીઓ જ બંધ કરાવી દીધી હોય. કારણ જો પ્રજા વિચારે તો નેતા અને ધર્મનેતાઓનો ધંધો ચાલે જ નહિ.

કોમવાદ કે રેસિઝમ પ્રતિબુદ્ધિવાદ જ છે. કહેવાતા બુદ્ધિશાળી અને એડ્યુકેટેડ લોકો પણ કોમવાદી હોઈ શકે છે. એનિમલ બ્રેન હમેશાં કોમવાદી જ હોય. કોમવાદ બીજું કશું નહિ એક નાના પાયે સમૂહવાદ જ છે. કારણ મેમલ સમૂહમાં રહેવા જિનેટિકલી ઇવોલ્વ થયેલા છે. અને વસુધૈવ કુટુમ્બક એ લાર્જ-કોર્ટેક્સનો કૉન્સેપ્ટ છે કે આખી દુનિયા આપણો સમૂહ છે અને સર્વ સમાન છે. સામ્યવાદ, સમાજવાદ, આપણે કહીએ કે આપણે બધા સરખાં છીએ. એવરીવન ઇઝ ઇક્વલ. એક ઉચ્ચ આદર્શ ગણીએ તો સારી વાત છે.   Equality is an abstraction, and the mammal brain does not process abstractions. આપણા આવા અનેક આદર્શો અમૂર્ત વિચારણા હોય છે. અહિંસા પરમોધર્મ, વસુધૈવ કુટુમ્બકમ અને ઇક્વાલિટી જેવી અનેક અમૂર્ત વિચારણાઓને મેમલ બ્રેઈન પ્રોસેસ કરી શકતું નથી. તેની ભૂખ feel good પૂરતી હોય છે. જ્યાં જ્યાં સર્વાઈવલ દેખાય ત્યાં તે feel good કરતું હોય છે.

જેમ જેમ માનવી ઈન્ટેલેકચ્યુઅલ થતો જાય તેમ તેમ પોતાને વિશ્વમાનવ અને વસુધૈવ કુટુમ્બકમમાં માનતો થઈ જતો હોય છે. ઉમાશંકર જોશી પાછલી અવસ્થામાં પોતાને વિશ્વમાનવ તરીકે ઓળખાવતા. અને મહાવીર જેવા ઍક્સ્ટ્રીમ ઇન્ટેલિજન્ટ તો નાના જીવજંતુમાં પણ પોતાનો અહેસાસ કરતા હોય છે. મેમલ બ્રેન પર અભૂતપૂર્વ કાબૂ મેળવી લે તેને જ જીન કહેવાય અને એવો કાબૂ જેણે મેળવી લીધો હોય તેને જૈન કહેવાય. Mahavira was given the title Jīnā, or “Conqueror” (conqueror of inner enemies such as attachment, pride and greed). બુદ્ધનું પણ એવું જ હતું. તમામ જીવો પ્રત્યે કરુણા એમનો મંત્ર હતો. પણ આ બધું એનિમલ બ્રેન ધરાવતા માનવ જંગલમાં કામનું નહિ જો જીવવું હોય તો. ત્યાં પછી કૃષ્ણ કામ લાગે. પછી તે કહેશે નૈન્મ છીન્દંતી શસ્ત્રાણમ, નૈન્મ દહતી પાવકઃ તો મારો પછી જીવવું હોય તો. અને DNA જીવતા રાખવા હોય તો………

 

 

જય પિતાશ્રી… ફાધર્સ ડે નિમિત્તે લેખન સ્પર્ધા

પ્યારા મિત્રો,

પ્રતિલીપી નામની વેબ સાઈટ ગુજરાતી તેમજ ભાષાઓનાં સાહિત્યની ખુબ સારી સેવા કરી રહી છે. ફાધર્સ ડે નિમિત્તે એના પર લેખન સ્પર્ધા રાખવામાં આવેલી છે. પિતા વિષે જે પણ લખવું હોય તે લખીને મોકલી શકાય. મેં પણ એમાં ઝુકાવેલું અને ‘જય પિતાશ્રી’ નામનો લેખ મૂક્યો છે. ફિલોસોફીના ફડાકાને બદલે સીધા ફેક્ટ આપેલા છે. મારા તમામ વાચક મિત્રોને અહી આપેલી લીંક પર જઈ તે લેખ વાંચવા નમ્ર વિનંતી.. .   જય પિતાશ્રી  આ લીંક ખુલે એટલે Read For Free ઉપર ક્લિક કરવાથી આખો લેખ વાંચવા મળશે. 11657335_10205224016012654_1346490501_n

જ્ઞાનને શુદ્ધ જ્ઞાન રાખો એને ધર્મના લેબલની જરૂર નથી. (યોગા)

800px-Bhujangasana_Yoga-Asana_Nina-Melજ્ઞાનને શુદ્ધ જ્ઞાન રાખો એને ધર્મના લેબલની જરૂર નથી. (યોગા)

The US Patent and Trademark office has reportedly issued 150 yoga-related copyrights, 134 trademarks on yoga accessories and 2,315 yoga trademarks.

સૌથી વધુ યોગની પ્રેક્ટીશ કરતા હોય તો તે અમેરિકનો છે એવું મારું માનવું છે. એમને તે વાત જરાય નડતી નથી કે યોગની વ્યવસ્થિતપણે શોધ ભારતીયોએ કરેલી છે, અને તે ભારતીયો હિંદુ વિચારધારાને વરેલા હતાં. યોગ હિંદુ ફીલોસફીની છ મુખ્ય સ્કૂલ્સ માની એક સ્કૂલ છે. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મિમાંસા અને ઉત્તર મિમાંસા આમ છ હિંદુ તત્વજ્ઞાનની મુખ્ય શાખાઓ છે. સમજી લો કે ઉત્તર મિમાંસાથી ઈશ્વરભાઈ નામનો કોન્સેપ્ટ ઘૂસેલો છે. સાંખ્ય તદ્દન નિરીશ્વરવાદી હતું અને યોગ એની સાથે બહુ નજદીક હતો. એમાં જે પણ ઈશ્વર ઘુસ્યો હશે તે બહુ પાછળથી. મુર્ખ મુસલમાનો સાથે અજ્ઞાન હિન્દુઓને પણ ખબર નથી કે ભારતીય ફીલોસફીની છ સ્કૂલ્સમાં ઈશ્વર છેલ્લે ઘૂસેલો છે. યુજ ધાતુ પરથી યોગ શબ્દ બનેલો છે. યોગ મતલબ જોડવું. શરીર અને મન સાથે અદભુત જોડાણ કરવું અથવા તે જોડાણને સમજવું અને અમુક ક્રિયાઓ કરીને તે જોડાણ ને અદ્ભુત બનાવવું જેથી સર્વાઈવલ ઓફ ફીટેસ્ટનાં જમાનામાં સર્વાઈવ વધુ સારી રીતે થઈ જવાય તે પ્રક્રિયાને યોગ કહેવાય છે.

આધુનિક મેડીકલ સાયન્સની જેમ યોગ એક શુદ્ધ જ્ઞાન છે તેને ધર્મોના લેબલની જરાય જરૂર નથી તે પાપી પશ્ચિમના ક્રિશ્ચિયન લોકો ફનેટીક મુસલમાનો કરતા વધુ સારી રીતે જાણે છે, માટે આજે યોગ વિષય ૧૫૦ પેટન્ટ અમેરિકનો ધરાવે છે.

કેટલા હિન્દુઓને ખબર હશે કે યોગના આઠ અંગ છે? કે આઠ પ્રકરણ છે? કે યોગ નામની સીડીને આઠ પગથિયાં છે? હરિયાણાની ભાજપા સરકારના યોગના બ્રાંડ એમ્બેસેડર, યોગના વેપારી ગુરુ બાબા રામદેવ યોગની આઠ પગથીયાની સીડીના ફક્ત બે પગથિયાં આસન અને પ્રાણાયામ વિષે તમને માહિતી આપે છે. ફક્ત બે પગથિયાં જો આટલા લાભદાયી હોય તો આઠ પગથિયાં ચડીને ક્યાં પહોંચી જવાય?

યોગના આઠ અંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ.

બાબા રામદેવ પ્રાણાયામ અને આસનો જ શીખવાડે છે બાકી બીજા તેઓ અંગો વિષે તેઓ જાણતા જ હોય પણ સામાન્યજનને શીખવવાનું મુનાસીબ નહિ સમજતા હોય. કે એમાંથી અર્થોપાજન થાય તેવું લાગતું નહિ હોય.

યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર દ્વારા મદદ મળતા ધારણા, ધ્યાન અને સમાધિના પગથિયાં આસાનીથી ચડી શકાય.

પ્રાણાયામ શ્વાસોચ્છવાસની અદ્ભુત ટેકનીક છે. ઓક્સિજન વગર તો મુસલમાન પણ નહિ જીવી શકે અને પ્રાણાયામ ટેક્નિક ઓક્સિજન વધુમાં વધુ લેવાની ટેક્નિક છે. માછલી, કાચબો, ગાય, ભેંસ, ડુક્કર, હાથી કે માનવી, મુસલમાન કે હિંદુ, ખ્રિસ્તી કે પારસી, બૌદ્ધ કે જૈન, કે કોઈપણ હોય પાણીમાં તરતી વખતે ઓટ્મેટિક પ્લાવની પ્રાણાયામ કરે જ છે. તેમ જ લાંબુ દોડવાથી ઓટ્મેટિક ભસ્ત્રિકા પ્રાણાયામ થઈ જાય છે, ત્યારે કોઈ મુસલમાન એમ કહી નહિ શકે કે હું ભસ્ત્રિકા નહિ કરું કે સ્વિમિંગ પુલમાં પ્લાવની નહિ કરું, કારણ કોઈ હિન્દુએ પ્રાણાયામનાં વિવિધ નામ આપ્યા છે. ન્યુટને ગુરુત્વાકર્ષણ વિષે સમજ આપી તે પહેલા શું ગુરુત્વાકર્ષણ નહોતું? પતંજલિએ યોગ સુત્રો રચ્યા તે પહેલા શું યોગા નહોતો? અરે યોગા તો પ્રાણીઓ પણ કરે જ છે. સાપ કરે છે સ્ટાઈલને તો ભુજંગાસન નામ આપ્યું છે. એટલું કે એમને એના વિષે કોઈ વ્યવસ્થિત સમજ નથી.

આસનો સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ છે. હવે એને પશ્ચિમની સ્ટાઈલથી કરો કે ભારતીય સ્ટાઈલ કે ચાઇનીઝ સ્ટાઈલથી કરો શું ફરક પડે છે?

ચાઇનીઝ શાઓલીન, કુંગ ફૂ, કે જાપાનીઝ કરાટે હોય કે બીજા કોઈ પણ દેશની માર્શલ આર્ટ હોય યોગના આઠે આઠ અંગનું આક્રમક રૂપ છે. એમાં યમ છે નિયમ છે આસન છે પ્રાણાયામ છે અને ધ્યાન પણ છે સાથે સાથે સ્વબચાવ માટે આક્રમક રવૈયો એ લોકોએ ઉમેરેલો છે. અહિ આપણે ભારતીયોની ચૂક થઇ ગઈ આપણે સ્વબચાવ માટેનો આક્રમક રવૈયો યોગમાં ઉમેર્યો નહિ અને હશે તો  કાઢી નાખ્યો અને હજારો વર્ષ ગુલામ રહ્યા. આપણે યોગ સાથે ભક્તિ(સબમીશન) અપનાવી, ભક્તિ પાછળથી આવી, અને જે પણ આક્રમણકારીઓ આવ્યા શરણે થઇ ગયા. હજુ પણ શરણે થઇ જવાની ભાવના અકબંધ જ છે. ભક્તિ નબળા લોકોની માનસિકતા છે.

યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો છે.

યોગા પ્રાચીન ભારતે દુનિયાને આપેલી મહામૂલી ભેંટ છે. જેમ આધુનિક મેડીકલ સાયન્સનો વિકાસ ભલે યુરોપ અને ક્રિશ્ચિયાનિટીને હસ્તે થયો પણ આજે આખી દુનિયા એને કોઈ ધર્મના લેબલ લગાવ્યા વગર વાપરે છે અને ક્રીશ્ચિયાનિટી વાપરવા દે છે તેમ યોગા પણ વાપરવો જોઈએ. બાકીની દુનિયાના લોકો તો યેનકેન પ્રકારે વાપરે જ છે.

હવે જેમ તાવ આવે ત્યારે કોઈ ડોક્ટર જોડે જઈએ, વૈદ્ય જોડે જઈએ કે હકીમ જોડે જઈએ તે આપણી ઈચ્છાનુસાર હોય છે તેવું યોગા વિષે પણ હોવું જોઈએ કોઈને ફરજ પાડી શકાય નહિ કે વૈદ્ય જોડે જ જાઓ કે હકીમ જોડે જાઓ કે ડોક્ટર જોડે જ જાઓ. Janusirsasana_Yoga-Asana_Nina-Mel

ચરૈવેતિ ચરૈવેતિ

ચરૈવેતિ ચરૈવેતિfaithful-feet-keep-walking-blog-pic

ઐતરેય બ્રાહ્મણ ગ્રંથમાં બહુ સરસ મંત્ર-ગીત છે.

ॐ नाना श्रान्ताय श्रीरस्ति, इति रोहित शुश्रुम।

पापो नृषद्वरो जन, इन्द्र इच्चरतः सखा। चरैवेति चरैवेति॥

पुष्पिण्यौ चरतो जंघे, भूष्णुरात्मा फलग्रहिः।

शेरेऽस्य सवेर् पाप्मानः श्रमेण प्रपथे हताः। चरैवेति चरैवेति॥

आस्ते भग आसीनस्य, ऊध्वर्स्तिष्ठति तिष्ठतः।

शेते निपद्यमानस्य, चराति चरतो भगः। चरैवेति चरैवेति॥

कलिः शयानो भवति, संजिहानस्तु द्वापरः।

उत्तिष्ठँस्त्रेताभवति, कृतं संपद्यते चरन्। चरैवेति चरैवेति॥

चरन् वै मधु विन्दति, चरन् स्वादुमुदुम्बरम्।

सूयर्स्य पश्य श्रेमाणं, यो न तन्द्रयते चरन्। चरैवेति चरैवेति॥

(ऐतरेय ब्राह्मण ७.१५)

આનો ભાવાર્થ એવો છે.

હે ! રોહિત સાંભળ, મેં એવું જાણ્યું છે કે થાક્યા વગર જે શ્રમ કરે છે તે શ્રીમુખી, બાકી કર્મરત નાં હોય તેવો શ્રેષ્ઠજન પણ દુઃખી. આ શ્રી શબ્દ સ્ત્રી વાચક છે. શ્રી નો અર્થ થાય લક્ષ્મી. અથવા લક્ષ્મીજીનું બીજું નામ શ્રી છે, માટે શ્રી મંજુલાબેન કે શ્રી સવિતાબેન લખીએ તે બરોબર છે પણ શ્રી મગનભાઈ કે શ્રી છગનભાઈ લખીએ તે ખરેખર ખોટું છે. શ્રી. મગનભાઈ લખીએ તો બરોબર છે. શ્રી પછી પૂર્ણવિરામ મૂકવું જરૂરી છે. એટલે જે થાક્યા વગર શ્રમ કરે તેની પાસે શ્રી હોય તે સ્વાભાવિક છે. નિત્ય ગતિશીલતા જ ઇન્દ્ર્કર્મ કહેવાય માટે ચાલતા રહો ચાલતા રહો. આ ઇન્દ્ર કદી પગ વાળીને બેઠાં નથી. કાયમ યુદ્ધોમાં જ રત રહેતા. ક્યારેક અસુરોને તે ભગાડતા તો ક્યારેક અસુરો એમને ભગાડતા.

જે હમેશાં ચાલતા રહે તેને ફળફળાદિ પ્રાપ્ત થતા રહે. એના ખરાબ કામ પણ શ્રમનાં પથ ઉપર નષ્ટ થઈ જાય. અહીં ખરાબ કામ એટલે નિષ્ફળતા સમજવું બહેતર છે. કારણ દરવખતે સફળતા મળે નહિ પણ જે હમેશાં ચાલતો રહે કામ કરતો રહે તેને મળતી નિષ્ફળતા છતાં પણ કર્મ કરતો રહે, શ્રમ કરતો રહે તો એક દિવસ સફળતા મળવાની જ છે. આ ચાલતા રહેવું મતલબ કાયમ બે પગે ચાલતા રહેવું તેવો સ્થૂળ અર્થ કરવા જેવો નથી. ચાલતા રહેવું મતલબ કર્મ કરતા રહેવું. કામ કરતા રહેવું.

આપણા બાવા સમાજે ઐતરેય બ્રાહ્મણ ગ્રંથના આ મહામૂલાં ગીતની બહુ મોટી અવહેલના કરી છે. ગીતાના કર્મણ્યે વાધિકારસ્તે નહિ પણ અકર્મણ્યે વાધિકારસ્તે એ લોકોએ અપનાવ્યું છે. આ બાવાઓ કોઈ કામ કરતા નથી. કોઈ શ્રમ કરતા નથી. કોઈ પ્રોડક્ટિવ કર્મ કરતા નથી. આલસ્યશિરોમણી છે આ બાવાઓ. એમને મોક્ષ મેળવવો છે અને એના બિલ પ્રજાને માથે મારે છે. વેદિક કાળમાં બાવા સમાજ હતો જ નહિ. ગુરુઓ પત્ની અને બાળબચ્ચાં વાળા જ હતા. અરે અમુક ગુરુઓ તો એક કરતા વધારે પત્નીઓ રાખતા હતા. જ્યારે તમામ રીતે રિટાયર થઈ જવાય ત્યારે જ સંન્યાસ લેવામાં આવતો. અને તે યોગ્ય જ હતું. અત્યારે તો નાની ઉંમરમાં સંન્યાસ લઈને અકુદરતી કાર્યો કરવામાં આવી રહ્યા છે.

મૂળ તો આ પાંચ શ્લોકના ગીતનો આ ત્રીજો શ્લોક જ વધુ પ્રખ્યાત છે. બેસી રહેનારનું ભાગ્ય બેસી રહે છે. ઊભા રહેનારનું ભાગ્ય ઊભું રહે છે, સૂઈ રહેનારનું ભાગ્ય સૂઈ રહે છે અને ચાલનારનું ભાગ્ય ચાલે છે. ભાગ્યવાદે આ દેશને બહુ મોટું નુકસાન કરેલું છે. ભાગ્યમાં જે હશે તે થશે તે માનસિકતા આ દેશના વિકાસ આડે બહુ મોટી દીવાલ બનીને ઊભી રહેલી છે. ભાગ્યમાં જે હશે તે થશે અને મળશે તે માનસિકતા એ દેશને આલસ્ય શિરોમણિ બનાવ્યો છે. કામ કરવાની ક્યાં જરૂર છે? ભાગ્યમાં જે હશે તે જ મળશે.

આ શ્લોક શું કહે છે તે જુઓ? ચાલનારનું ભાગ્ય ચાલે છે. જો તમે શ્રમ નહિ કરો, કર્મ નહિ કરો તો તારું ભાગ્ય પણ આરામ કરશે. સૂતેલાનું ભાગ્ય તો સૂઈ જ રહેવાનું છે તે સ્વાભાવિક છે. પણ અમુક લોકો એવા પણ હોય છે. ઊભા તો થઈ જાય છે પણ પછી આગળ ચાલતાં ગભરાતા હોય છે. કોઈ પણ નવી જગ્યાએ જાઓ એટલે મનમાં થોડો ડર તો લાગે જ. પરિચિત વસ્તુથી આપણને કોઈ જોખમ લાગે નહિ. એવું જ કર્મનું પણ છે. કોઈ નવું કર્મ કરવું હોય તો સફળતા મળશે કે અસફળતા શું ખબર? એટલે અસફલતાનો ડર લાગતો હોય છે અને અસફળતા નાં મળે માટે આપણે કોઈ નવું કર્મ શરુ કરતા ડરીએ છીએ અને ઊભા જ રહીએ છીએ એટલે ત્યાં આપણું ભાગ્ય પણ સ્થિર ઊભું જ રહેવાનું. ઘણીવાર તો આપણે ચાલીએ ખરા પણ ત્રણ રસ્તા જો આવી ગયા તો ખલાસ. હવે કઈ બાજુ જઈશું તો સફળતા મળશે, મંજિલ મળશે ખબર નથી. એટલે ત્રણ રસ્તે ઊભા થઈ જનારા માટે ગીતમાં સંશયાત્મા વિનશ્યતિ કહેલું છે. અરે ચાલો તો ખરા લાગે કે ખોટો રસ્તો છે, તો એક તો સમજ પડી જ ગઈ કે આ લીધેલો રસ્તો ખોટો જ છે. પણ ઊભા જ રહીશું ક્યારેય પહોચી નહિ શકીએ. માટે ચરૈવેતિ ચરૈવેતિ…

આ બાવાઓએ ભારતને એમના સ્વાર્થ માટે હમેશાં ખોટું શીખવ્યું છે માટે બાવામુક્ત ભારત મારું સપનું છે. આપણા અસલી સાહિત્યને પણ સાચી રીતે શીખવ્યું નથી.

સૂતેલી અવસ્થામાં કળિયુગ છે. બેસવાની અવસ્થામાં દ્વાપર છે, ઊભા થતાં ત્રેતાયુગ બને, અને ચાલતા સતયુગ સિદ્ધ થાય છે. એક બહુ મોટી ગલત ધારણા છે કે સારો યુગ સતયુગ પૂરો થઈ ગયો. પછી દ્વાપર અને ત્રેતા પુરા થઈને હવે ખરાબમાં ખરાબ કલિયુગ આવી ગયો છે. ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ જુઓ તો પહેલા માનવી આદિમાનવ હતો ત્યારે ક્યાં આટલી સગવડ હતી? સર્વાઈવ થવા હમેશાં લડ્યા કરવું પડતું. ગુફાઓમાં રહેવું પડતું. જંગલી પ્રાણીઓનો સતત ભય. તમને ખબર છે? તાજું જન્મેલું બાળક દર બે કલાકે જાગે છે અને રડે છે? બીજું તમને પોતાને અંદાજ નહિ હોય પણ આપણે પોતે દર બે કલાકે જાગતા હોઈએ છીએ. પડખું ફેરવીને ફરી સૂઈ જતા હોઈએ છીએ. જે આપણને સવારે લગભગ યાદ પણ હોતું નથી એવું લાગે કે મસ્ત આઠ કલાકની સળંગ ઊંઘ ખેંચી નાખી છે. દર બે કલાકે જાગવાનું આપણા DNA માં છે. જ્યારે આપણે ગુફાઓમાં રહેતા ત્યારની આદત છે. ચેક કરવા કે સલામત છીએ કે નહિ? કોઈ જંગલી પશુ આસપાસ આપણો શિકાર કરવા બેઠું તો નથી ને? દર બે કલાકે જાગીને ચેક કરવાથી સર્વાઈવલ રેટ ઊંચો જાય. આ ઇન્ફર્મેશન આપણા બાળકોને DNA દ્વારા ઓટ્મેટિક મળેલી હોય છે માટે તેઓ દર બે કલાકે જાગીને રડતા હોય છે. તે સમયે ૩૦-૩૫ વર્ષથી વધારે આયુષ્ય હતું નહિ. એવરિજ આયુષ્ય તો હમણાં વધ્યું છે. મેડિકલ સાયન્સના સતયુગ દ્વારા.

આપણે ત્યાં દેવપોઢી અને દેવઊઠી અગિયારસ વચ્ચે કોઈ સારા લગ્ન જેવા કામ થતા નહિ. હજુ મોટાભાગના લોકો તે પાળે છે. આ બે અગિયારસ વચ્ચે ભયંકર ચોમાસું હોય. નદીનાળાં ઊભરાતાં હોય. રસ્તાઓ કાદવ કીચડથી ભરેલા હોય. એવામાં લગ્ન જેવા પ્રસંગ ઊજવવા કેટલી તકલીફ? સગવડો ક્યાં હતી તે સમયે? તો ખરેખર સતયુગ તો અત્યારે છે. કે માનવીએ ચાલતા રહીને નવા કર્મ કરીને, રિસર્ચ કરીને, નવી નવી શોધો કરીને સતયુગ બનાવ્યો છે. માટે ચાલો તો સતયુગ બાકી ઊંઘો તો કલિયુગ જ છે. આપણે સતયુગ પૂરો થઈ ગયો છે સમજી ચાલવાનું બંધ કરી આળસુ બની ગયા અને પશ્ચિમના લોકો ચાલી ચાલીને સતયુગમાં સરી પડ્યા. સારું છે આપણને એમની નકલ કરવા દે છે, એમની શોધેલી વસ્તુઓ વાપરવા દે છે.

ચાલતાં ચાલતાં મધ મળે છે, ચાલતાં ચાલતાં સ્વાદિષ્ટ ઉમરાનું ફળ મળે છે. સૂર્યની શોભા જુઓ કે જે ચાલવામાં ક્યારેય આળસ કરતો નથી.

આ ચાલતાં ચાલતાં મધ મળે છે તે લખવાનું ખાસ કારણ છે. ઉમરાનું ફળ તો માનો બધા ફળોનું પ્રતીકાત્મક હોઈ શકે. ખેતી કરવાનું આશરે દસેક હજાર વર્ષથી શરુ થયું છે. તે પહેલા લાખો વર્ષ સુધી માનવીનો ખોરાક માંસ અને ફળફળાદિ રહેલો હતો. માંસમાં પ્રોટીન વધુ હોય શર્કરા એમાંથી બહુ મળે નહિ. આમ તો જરૂરી શર્કરા ફળોમાંથી મળી રહે. માનવી લાખો વર્ષ લગી પ્રોટીન વધુ લેતો અને મહેનત ખૂબ કરતો માટે પાતળો અને સપ્રમાણ રહેલો છે. ખેતી શરુ થઈ ઘઉં ચોખા જેવા અનાજ ખાવાનું વધુ શરુ થયું એમાં પ્રોટીન ઓછું અને શર્કરા વધુ હોય છે. એટલે ખેતી શરુ થઈ તે પહેલા શર્કરા માટે ફળો પર વધુ આધાર રાખતો. હવે ફળો પણ બારેમાસ મળે તેવું બને નહિ. દરેકની ખાસ સિઝન હોય, પછી મળે નહિ. એટલે માનવી માટે વધારાની શર્કરા મેળવવાનું સાધન હતું મધ. આજે પણ આદિમ અવસ્થામાં જીવતા હન્ટર-ગેધરર સમાજોનો અભ્યાસ કરતાં એવું જણાયું છે કે જે પુરુષ મધ મેળવવામાં ઍક્સ્પર્ટ હોય તેને સ્ત્રી પહેલો પસંદ કરે છે. મતલબ સ્ત્રી પામવા માટે મધ પાડવામાં કાબેલ હોવું એક વધારાની ક્વૉલિટી ગણાતી. મધ પાડવા સહેલા હોતા નથી. એક તો ઝાડ પર ઊંચે ચડવું પડે અને કાતિલ ડંખ મારતી મધમાખીઓને સહન કરવી પડે. સ્ત્રી એટલાં માટે આવા મધપાડું નિષ્ણાંતોને પહેલાં પસંદ કરતી કે તેમના બાળકોને મધ ખવડાવી વધારાની શર્કરા પૂરી પાડી શકે. માટે ચાલતાં ચાલતાં મધ મળે. મધ ઘરમાં બેસી રહેવાથી મળે નહિ. અને મધ ના મળે તો સ્ત્રી મળવાના ચાન્સ થોડા ઓછા થઈ જાય. સૂરજ મહારાજ વિષે તો સહુ જાણે છે સતત ચાલતાં જ રહે છે તે નાં ચાલે તો આપણું અસ્તિત્વ જ ક્યાંથી હોય?

untitledવૈજ્ઞાનિકો માને છે, અને એમને અમુક પુરાવા મળ્યા છે તે પ્રમાણે માનવી, કોઈ કૉમન પૂર્વજોમાં કોઈ જિનેટિક ફેરફાર થવાથી લાખો વર્ષ પહેલા ચિમ્પેન્ઝી જેવા કપિમાનવ કરતા થોડો જુદો ઉત્ક્રાંતિ પામ્યો. શરૂમાં લાખો વર્ષ વૃક્ષો ઉપર જ રહ્યો. આમ તો વૃક્ષ ઉપરથી નીચે ઊતરી પાછો ઉપર ચડી જતો હશે. આવું અર્ધ વાનર અર્ધ માનવ જેવું લગભગ ૩૦ લાખ વર્ષ જૂનું ફોસિલ આફ્રિકામાંથી મળેલું જ છે. પણ આવા આપણા પૂર્વજોનાં એકાદ જુથે પાછું વૃક્ષ પર રહેવા જવાના બદલે જમીન પર રહેવાનું નક્કી કર્યું હશે. પછી ખોરાક અને સલામત રહેઠાણની શોધમાં આગળ વધવાનું ચાલુ કર્યું હશે. ત્યારથી આ ચરૈવેતિ ચાલુ થયું છે. જો આપણા એ પૂર્વજો વૃક્ષ ઉપરથી હેઠાં ઊતર્યા જ નાં હોત તો આજે આપણે આફ્રિકામાં કોઈ ઝાડ ઉપર હુપાહુપ કરતા હોત.

વૈજ્ઞાનિકો માને છે કે શરૂઆતના હજારો વર્ષ દરમ્યાન માનવી દર વર્ષે આશરે એક માઈલ આગળ ધપ્યો છે. આમ તો ખોરાક અને શિકારની શોધમાં માનવી માઈલો સુધી રોજ દોડતો જ હતો. બીજા પ્રાણીઓ ભલે માનવી કરતા વધુ તેજ ગતિએ દોડતા હશે પણ સતત એકધારું લાંબું દોડવાની ક્ષમતામાં માનવી બહુ આગળ છે. શિકારી પ્રાણીઓ વાઘ, વરુ કે ચિત્તા ઝડપી ખરા પણ થોડા મીટર પછી એમની શક્તિ ખલાસ થઈ જાય. આમ માનવી રોજ માઈલો સુધી દોડતો હશે પણ પાછો ઘેર આવી જતો હશે. પણ વસવાટ માટે માનવી વર્ષે એક માઈલ આગળ વધ્યો છે તેવું વૈજ્ઞાનિકો માને છે. આમ આફ્રિકામાં ઉત્ક્રાંતિ પામેલો માનવી મિડલ ઇસ્ટ થઈ પહેલો ભારતમાં આવી ગયેલો અને સીધો દરિયા કિનારે કિનારે આફ્રિકા જેવું લગભગ હવામાન ધરાવતા દક્ષિણ ભારત પહોચી ગયેલો. ત્યાંથી પૂર્વોત્તર ભારત થઈ ઇન્ડોનેશિયા પહોંચી ગયેલો., અને ત્યાંથી પછી ઓસ્ટ્રેલીયા. બીજી કોઈ ટુકડી મધ્ય એશિયા થઈને યુરોપ પહોચી પણ ઓસ્ટ્રેલીયા કરતા માનવી યુરોપમાં બહુ મોડો પહોંચેલ.

માનવી વૃક્ષ પરથી હેઠે ઊતર્યા પછી સતત ચાલતો જ રહેલો છે. ચાલતા રહેવું આપણા DNA માં જ છે. આજે પણ જ્યારે કોઈ મૂરખ એવું કહે કે તમે પરદેશ કેમ ગયા છો? ત્યારે મને તેના અજ્ઞાન ઉપર દયા આવે છે. અરે મૂરખ તારા બાપદાદાએ ચાલતા રહેવાનું રાખ્યું જ નાં હોત તો તું હજુ આફ્રિકામાં કોઈ ઝાડ પર હુપાહુપ કરતો હોત.

નોંધ :- પ્યારા મિત્ર ડૉ હિતેશ મોઢાનો ખાસ આભાર માનવાનો કે જેઓએ ઉપરના ઐતરેય બ્રાહ્મણનાં શ્લોકનું સરળ ગુજરાતી ભાષાંતર ઉપલબ્ધ કરાવી આપ્યું.

 

 

 

 

પશ્ચિમના ડે અને તહેવારો પ્રત્યે કકળાટ શાને?

images65W0PFCT પશ્ચિમના ડે અને તહેવારો પ્રત્યે કકળાટ શાને?

મધર્સ ડે, ફાધર્સ ડે, વૅલન્ટાઇન ડે, ટીચર્સ ડે જેવા અનેક દિવસો પશ્ચિમના જગતમાં ઊજવાય છે, જે હવે ભારતમાં પણ ઉજવવાનું શરુ થઈ ગયું છે. પશ્ચિમના ક્રિસમસ જેવા તહેવારો પણ આપણે ઊજવવા લાગ્યા છીએ. દુનિયા હવે નાની થતી જાય છે. પહેલાં તો મુંબઈ કોઈ કમાવા જાય તો પણ વિદેશ ગયા હોય તેવું લાગે. મારું બચપણ વિજાપુરમાં બારોટવાસમાં ગુજરેલું. અમારા વિજાપુરના ઘણા બારોટો મુંબઈમાં ધંધોપાણી કરતા. વર્ષમાં એક વાર એકાદ મહિનો ઘેર આવતા. જાણે વિદેશથી કોઈ મહેમાન આવ્યા હોય તેવો એમનો ઠાઠમાઠ રહેતો. ટૂંકમાં મુંબઈ તે સમયે વિદેશ ગણાતું. પણ હવે સવારે મુંબઈ જઈ રાત્રે ઘેર આવવું હોય તો આવી જવાય. ટૂંકમાં દુનિયા હવે બહુ નાની થતી જાય છે. હું વિજાપુર રહેતો ત્યારે ભાદરવા મહિનામાં ગણેશ ચતુર્થી આવતી ત્યારે મારા મધર લાડુ બનાવતા. બાકી એનો કોઈ ઉત્સવ જોવા મળતો નહિ. પહેલીવાર દસમાં ધોરણ પછી ૧૯૭૧માં અગિયારમાં ધોરણમાં વડોદરા ભણવા આવ્યો ત્યારે ગણેશોત્સવ જોયો. ત્યારે અચરજ પામેલો. હવે ગણેશોત્સવ આખા ગુજરાતમાં ફેલાઈ ગયો છે. મને ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતમાં ઉતરાણ પર પતંગ ચગાવવાનું જોર હતું તેટલું સૌરાષ્ટ્રમાં નહોતું. સ્કૂલમાં ૨૫ ડિસેમ્બર નાતાલની રજા પડતી એટલી મજા, બાકી ક્રિસમસ એટલે શું કોણ જાણે?

ટૂંકમાં તહેવારો ઊજવવા એમાં ખોટું શું છે? આપણે ઉત્સવ ઘેલા છીએ જ એમાં જેના મૂળ ઉત્સવ હોય તે લોકો શું કરે? હવે મહારાષ્ટ્રીયન ભાઈઓ તમને થોડી ના પાડવાના હતા કે ગણેશોત્સવ અમારો તહેવાર છે તમે ગુજરાતીઓ મનાવશો નહિ? એમ હવે તમે ક્રિસમસ મનાવો કે પશ્ચિમના બધા ‘ડે’ મનાવો તો પશ્ચિમના લોકો થોડા મનાઈહુકમ મેળવશે? ગણેશોત્સવ મનાવવાથી જેમ ગુજરાતી અસ્મિતાનો નાશ નથી થઈ જતો તેમ ક્રિસમસ મનાવવાથી ભારતીય સંસ્કૃતિનો નાશ કઈ રીતે થઈ જાય? દરેક સંસ્કૃતિમાં જે તે વરસના અંતે એક તહેવાર મનાવવો જોઈએ એ બહાને ઘરમાં સાફસફાઈ થઈ જાય, જુના વરસની વિદાય અને નવા વરસને આવકારો અપાઈ જાય તેવા રિવાજ હોય જ છે. હવે વરસના અંતે બે વાર એવી ઉજવણી જરૂરી નથી હોતી અને કરો તો પણ તમારા ખર્ચે અને જોખમે કરો એમાં બીજાને શું? પશ્ચિમના લોકો વરસના અંતે ક્રિસમસ મનાવે પછી દિવાળી નો મનાવે. કદાચ ડિપ્લોમસી તરીકે કોઈ મનાવતું હોય તો હાજર રહે પણ ખરા. પણ તમને વરસના અંતે બે તહેવાર ઊજવવા જ હોય તો ઊજવો.

પશ્ચિમના લોકો આપણને જરાય ફરજ પાડતા નથી કે તેમના ‘ડે’ અને તહેવારો ઊજવો. આપણે જે ઊજવીએ છીએ તે આપણી મરજીથી ઊજવીએ છીએ. પણ જ્યારે જ્યારે આવા તહેવારો કે દિવસો ભારતમાં ઊજવાય ત્યારે એક બહુ મોટો વર્ગ એનો વિરોધ કરવા નીકળી પડે છે. આપણા ઘરનો છોકરો પાડોશીના છોકરા જોડે ઝગડી પડે ત્યારે આપણા છોકરાનો વાંક હોય છતાં આપણને પાડોશીના છોકરાનો જ વાંક દેખાય તેવું આમાં પણ છે. પશ્ચિમના તહેવારો ઊજવીએ છીએ આપણે પણ ગાળો ખાય છે પશ્ચિમના લોકો. એક મિત્રે લખ્યું કે મૂળ અમેરિકન આદિવાસીઓ હતા ત્યાં કોઈ સંસ્કૃતિ જ નહોતી. માયા, એઝટેક અને ઇન્કા નામની ગ્રેટ સંસ્કૃતિઓ ત્યાં હતી. ઈજીપ્ત જેવા પિરામિડ પણ આ લોકોએ બનાવેલા છે. ત્યાર પછી યુરોપિયન આવ્યા તો તેઓ પોતપોતાની સંસ્કૃતિઓ સાથે લઈ ને જ આવ્યા હોય તે સ્વાભાવિક છે.

માતૃદેવો ભવઃ અને પિતૃદેવો ભવઃ કહેનારા દેશમાં નદીઓ અને ગાયોને પણ માતા માનીએ છીએ, છતાં આપણી નદીઓ અને ગાયોનો શું હાલત છે તે સહુ સારી રીતે જાણે છે. પ્લાસ્ટિક ખાઈને પેટ ભરતી ગાયો અને માતા ગંગાનું પાણી પીવા તો ઠીક સ્નાન કરવા લાયક પણ નથી એવો સરકારી રિપોર્ટ છે. માતૃદિવસનાં દિવસે અહીં જાણે કોઈ ખરાબ કામ થતા હોય તેમ લોકો વખોડવા બેસી જાય છે. આ દિવસે માતાને કાર્ડ આપશે, ફૂલ આપશે, અને બહાર જમવા લઈ જશે. એમાંનું થોડું આપણા યુવાનો કરે તો એમાં ખોટું શું છે? રોજ રોજ તો તમે માળા લઈને માતૃદેવો ભવઃ રટવા બેસવાના નથી. આખો દિવસ તો માતાના પગ આગળ બેસી રહેવાના નથી ભક્તિભાવથી તરબતર થઈને… એનું ઋણ ચૂકવવા કે એનો આભાર વ્યક્ત કરવા એકાદ દિવસ એને કામકાજમાં રજા આપી જમવા બહાર લઈ જાઓ તો એમાં ખોટું શું છે? આપણે માતૃદેવો ભવઃ કહીને માતાને ૨૪/૭/૩૬૫ કામકાજ કરવા દઈએ છીએ કોઈ દિવસ રજા આપતા નથી. આમ તો તમે માનો છો કો પશ્ચિમના લોકો પાપી છે કોઈ રિલેશનમાં માનતા નથી તો મધર ડે મનાવી માતાનું બહુમાન આ પાપીયા કરે છે તો આપણે ખુશ થવું જોઈએ કે ના આ લોકોમાં પણ થોડું હૃદય જેવું છે.

એવું નથી હોતું કે આપણી સંસ્કૃતિ તદ્દન ખરાબ હોય કે મહાન જ હોય તેમ પશ્ચિમની સંસ્કૃતિ પણ તદ્દન ખરાબ કે મહાન હોય. દરેકમાં પોતપોતાની ખામીઓ અને ખૂબીઓ હોય જ છે. પણ આપણા લેખકો, પત્રકારો સામાન્ય લોકોને ખોટેખોટું લખીને ગેરમાર્ગે દોરતા હોય છે. અને લખેલું વંચાય તેમ સામાન્ય જન લખેલું સાચું માની લેવા ટેવાયેલા હોય છે. એમને એવું જ હોય કે કોઈ લેખક લખે એટલે તે સાચું જ હોય. બુદ્ધિશાળી લોકો પણ બહુ વિચારતા હોતા નથી અને સાચું માની લેવા ટેવાયેલા હોય છે. એક સીધો સાદો સાચો દાખલો આપું. એક ફેમસ ગુજરાતી ન્યૂઝ પેપરના એક કોલમ લેખકે લખ્યું કે ઈન્દીરા ગાંધી અને એમના પતિ ફિરોઝ ગાંધી એટલાં માટે છૂટા પડ્યા કે ફિરોઝ ગાંધી અને એમની સાસુ કમલા નહેરુ મતલબ ઇન્દિરાના માતા વચ્ચે પ્રેમ સંબંધ ચાલતો હતો અને તે ઈન્દીરા કોઈ સમયે જોઈ ગયેલા. સાસુ જમાઈ વચ્ચે પ્રેમ સંબંધની વાત વાંચી મારા એક બહુ સારા મિત્ર જેઓ પોતે લેખક છે તે સાચું માની ગયા અને એમણે પ્રતિભાવ આપ્યો કે મોટા લોકોનાં મોટા પોલ હોય. મેં એના વિષે આખો આર્ટિકલ લખીને મારા બ્લોગમાં મૂક્યો. સત્ય એ છે કે કમલા નહેરુના મરી ગયા પછી દસ વર્ષ પછી ઈન્દીરા અને ફિરોઝ ગાંધીના લગ્ન થયેલા.

‘કર્મનો નિયમ’ લખીને ફેમસ થઈ ગયેલા હીરાભાઈ ઠક્કર નામના લેખકે એમના ‘મૃત્યુનું મહાત્મ્ય’ નામના બીજા પુસ્તકમાં બહુ મોટું ગપ્પું મારેલું કે અમેરિકામાં લોકો ઘરડા થાય એટલે માથામાં ગોળી મારીને મારી નાખે અથવા ઝેર આપીને મારી નાખે આને મર્સી કિલિંગ કહેવાય. હવે જે લોકો ભક્તિભાવથી હીરાભાઈને વાંચતા હોય તેમના મનમાં એવી જ છાપ પડે કે અમેરિકન એટલે ક્રૂર ઘરડા લોકોને મારી નાખે. એના વિષે પણ મેં એક આખો લેખ લખીને મારા બ્લોગમાં મૂકેલો કે મર્સી કિલિંગ કોને કહેવાય. અમેરિકા વિષે કે પશ્ચિમની સંસ્કૃતિ વિષે તદ્દન ખોટું ચિત્રણ આપણી સામે થતું હોય છે. અમેરિકનો એટલે ક્રૂર, સેક્સ મેનીયાક, અમેરિકામાં તો રસ્તે જનારને પણ સેક્સ કરવા વિષે બેધડક પૂછી શકાય. અમેરિકામાં તો ગમે તેની સાથે ગમે ત્યારે હાલતા ચાલતા રસ્તે ગમે ત્યાં સેક્સ કરી શકાય. લોકો સાવ નાગા કપડા પહેર્યા વગર જ ફરતા હશે. અમેરિકન સ્ત્રીઓ જાણે તમારા પૂછવાની રાહ જોતી હોય કે પૂછો એટલે તરત નાગલી થઈ ને તમારી સાથે સૂઈ જાય. અમેરિકામાં તો છોકરા ૧૫ વર્ષે ઘર છોડી બહાર જ જતા રહે. નાં જાય તો માબાપ જ કાઢી મૂકે.

સત્તાવાર રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં ચાર મિલયન એટલે ૪૦ લાખ લોકો સંયુક્ત કુટુંબમાં રહે છે જેમાં આશરે ત્રણ જનરેશન જોડે રહેતી હોય છે. ભણવામાં રસ નાં ધરાવતા હોય તેવા છોકરા ૧૭-૧૮ વર્ષે જૉબ પર લગી જતા હશે. એમાંના પણ બધા પોતાના ઘર છોડી દેતાં નથી. અમેરિકાની હજારો યુનિવર્સિટીઓમાં ભણતા લાખો છોકરાંઓનાં ભણવાના તોડી નાખે તેવા ખર્ચા માબાપ વેઠતા જ હોય છે. ૧૭ વર્ષે ઘર છોડી નોકરી કરી તમે જાતે ભણી ના શકો. આઠ કલાક નોકરી કરો તો ભણો ક્યારે? અને પાર્ટ ટાઈમ નોકરી કરો તો તેટલી આવકમાં શું ભણો? ફૂલ ટાઈમ ભણો તો જ સરકારી આર્થિક સહાય મળે છે. હવે ફૂલ ટાઈમ ભણો તો ચાલો ભણવા માટે આર્થિક સહાય મળે તો ખાવા પીવાનું શું? આર્થિક સહાય માટે પણ અમુક ધારાધોરણ જોઈએ. નહિ તો વર્ષે ૨૦-૪૦ હજાર ડોલર્સ ફી ભરીને ભણવું પડે. ટૂંકમાં માબાપની સહાય હોય જ છે નહિ તો અમેરિકાની તમામ કૉલેજો આપણે માનીએ છીએ તેમ હોય તો બંધ કરી દેવી પડે. ભણવામાં બિલકુલ રસ નાં હોય તેવા છોકરા અહીં બેસી રહી માબાપ ઉપર બોજ બનતા નથી જૉબ પર લાગી જતા હોય છે, તો એમાં ખોટું શું છે?

૧૭ વર્ષે જે દેશના તમામ છોકરાં ઘરબાર છોડી સ્વછંદ બની જતા હોય તો એ દેશ આજે વિજ્ઞાનમાં સર્વોચ્ચ બની મહાસત્તા બની જ કેવી રીતે શકે? સ્વચ્છંદતાની આપણી વ્યાખ્યા જ અલગ છે. બીચ ઉપર બીકીની પહેરીને ફરતી છોકરીમાં આપણને સ્વછંદતા લાગે કારણ આપણે બંધ બાથરૂમમાં પણ કપડા પહેરીને સ્નાન કરવાવાળી પ્રજા છીએ. અહીં બીચ ઉપર ૨૦ વર્ષની યુવાન બીકીની પહેરેલી દીકરી અને ૪૦ વર્ષની લગભગ યુવાન જ દેખાતી બીકીની પહેરેલી પત્ની જોડે ૪૨ વર્ષનો અમેરિકન પુરુષ આરામથી ફરતો જોઈ આપણા ભવાં ચડી જાય. સાલા, નફ્ફટ, નાગા, બેશરમ નરકમાં જવાના એવા વિચારો આવી જાય. આ આપણા ચશ્માં છે. આપણે અંધારી રાત્રે પણ ચશ્માં પહેરીને ફરીએ તો પછી શું દેખાય?

આપણો જીવનને જોવાનો અને મૂલવવાનો નજરિયો જ અલગ છે. આપણા ૮૦ વર્ષના માબાપ એમના ૬૦ વર્ષના દીકરા જોડે એવી જ અપેક્ષા રાખતા હોય કે તે હંમેશા એમને પૂછી ને જ પાણી પીવે. આપણે મરીએ ત્યાં સુધી આપણા સંતાનોને સ્વતંત્રતા આપવા ઇચ્છતાં હોતા નથી. છોકરાઓ એમની વૈચારિક સ્વતંત્રતા આપણી પાસેથી છીનવી લે ત્યારે નાં છૂટકે જ આપીએ તે પણ કેટલુંય ખોટું લગાડીને. એનો વસવસો તો મરીએ ત્યાં સુધી રહે કે છોકરાએ મારું કહ્યું માન્યું નહિ. પશ્ચિમનો નજરિયો અલગ છે. ૧૮ વર્ષના સંતાનને માબાપ સ્વતંત્રતા આપે છે. તો સંતાનો પણ માબાપની જીંદગીમાં દખલ કરતા નથી. માબાપ પણ કોઈ ભગવાન નથી આખરે મનુષ્ય જ છે. એમના પણ ગમા અણગમા હોય, અરમાન હોય, આશાઓ હોય, પોતીકી લાગણીઓ હોય, લાગણીઓના ચડાવ ઉતાર હોય. આપણે સ્વતંત્રતા ભોગવી હોતી નથી એટલે જરાપણ સ્વતંત્રતા જ્યાં દેખાય તરત એમાં સ્વચ્છંદતા જોવા ટેવાઈ ગયા છીએ.

અહિ બસ કે ટ્રેનમાં ગમે તેટલી ભીડ હોય કોઈ એક બીજાને ટચ કરે નહિ, કે છાપા નીચેથી હાથ સરકાવી બાજુમાં બેઠેલી છોકરીને કોઈ અડપલાં કરતું નથી. અહિ સેક્સુઅલ હેરેસમેન્ટ માટે સખત કાયદા છે. ઑફિસમાં મહિલાઓને કે પુરુષોને પણ એની મરજી વગર હાથ લગાવાય નહિ. એના ખભે હાથ ફેરવી લેવાય નહિ. નાના છોકરાનું કે છોકરીનું જાતીય શોષણ કર્યું હોય જે તે સમયે તેને ભલે સમજ પડી નાં હોય પણ મોટું થઈને તે કેસ કરી શકે છે અને તમને જેલમાં ચક્કી પીસિંગ એન્ડ પીસિંગ કરાવી શકે છે. એમાં ન્યુયોર્કની કોઈ સ્કૂલમાં ભણાવતી પંજાબી મહિલા ટીચર હાલ જેલમાં છે. હમણાં અહિ એપ્રિલ સુધી બરફ પડ્યો છે. લગભગ આઠેક મહિના પુરા કપડા પહેરવા પડે નહીં તો ચામડી ફાડી નાખે તેવું હવામાન હોય છે માટે અહિ આઠ મહિના તો કોઈ નાગું ફરતું નથી, ચિંતા કરશો નહિ. મેં અને સપ્ટેમ્બરમાં પણ નાગા ફરાય તેવું વાતાવરણ હોતું નથી. જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં લોકો સૂર્યનો તાપ જેટલો લેવાય તેટલો ચામડી દ્વારા લઈ લેવો તે ન્યાયે ઓછા કપડા પહેરે છે પણ સાવ નાગા નથી ફરતા.. ઓફિસોમાં અને કંપનીઓમાં તેમના પ્રોટોકૉલ મુજબ કપડા પહેરવા પડતા હોય છે.

પશ્ચિમના કલ્ચરમાં ખામીઓ છે નહિ તેવું પણ નાં હોય. ખામીઓ બધે જ હોય છે. કોઈ પૂર્ણ તો હોતું નથી. એમાં તો એની ખૂબી છે. પણ આપણે ધારીએ છીએ તેટલું ખરાબ પણ નથી. અહીં પણ માનવો જ રહે છે. અહીં પણ માબાપ પોતાના સંતાનો માટે સેક્રીફાઈસ કરે જ છે. અહિ પણ સંતાનો વૃદ્ધ માબાપની કાળજી રાખે છે. અહિ પણ ૩૦-૪૦ વર્ષથી એકની એક પત્ની સાથે કે પતિ સાથે જીવતા લોકો મેં જોયા છે. મારો સુપરવાઈઝર જુલિયસ ૨૦ વર્ષે પરણી ગયેલો આજે ૬૫નો હશે પણ હજુ બંને સાથે જ છે. આવા તો અનેક દાખલા છે. છતાં ભારત કરતા ડિવોર્સનું પ્રમાણ ચોક્કસ વધારે છે.

જે NRI દેશમાં આવીને અમેરિકા વિષે ખોટું ચિત્રણ કરે છે તેમની માનસિકતા વર્ષો પહેલા ભારત છોડી આવ્યા હોય ત્યાં જ અટકી ગયેલી હોય છે. એમનો હેતુ ફક્ત કમાવા પૂરતો જ હોય છે. ૩૦-૪૦ વર્ષ પહેલા દેશ છોડીને ભલે આવ્યા હોય ૩૦-૪૦ વર્ષ પહેલાની માન્યતાઓ એમની સાથે એની એજ જરાય બદલાયા વગરની હોય છે. એમની જોડે ડોલરની લીલી નોટો જોવાની જ દ્ગષ્ટિ બચી હોય છે. અહીંના સમાજ જીવન વિષે કે કલ્ચર વિષે અભ્યાસ કરવાની કે નિષ્પક્ષ જોવાની એમની પાસે કોઈ દ્ગષ્ટિ હોતી નથી, કે એવી એમને કોઈ જરૂર હોતી નથી કે એવી કોઈ પળોજણમાં પડતા જ નથી. એનાં એજ ટીલા ટપકા, એના એજ ગુરુઓ પાછળ દોટો મૂકવાની, એના એજ મંદિરો, એના એજ હજારો વર્ષ જૂની માન્યતાઓ અને પરમ્પરાઓ, એની એજ અંધશ્રદ્ધાઓ, એની એજ અવૈજ્ઞાનિક માન્યતાઓ, એના એજ સંસ્કૃતિ અને સંસ્કારની ગાથા ગાયે રાખવાની ટેવ, કોઈ જ બદલાવ નહિ. આવા અબુધ પૈસાદાર લોકો દેશમાં આવીને અહીંના અસલ ચિત્ર કઈ રીતે દોરવાના હતા?

આપણા બુઢા ખૂસટ લેખકોને પણ ખબર છે કે ભારતીયોને સંસ્કૃતિ અને સંસ્કારની દુહાઈ દો એટલે ભયો ભયો. તેઓને આ વિક પોઇન્ટ ખબર છે માટે તરત લેખ ઘસડી નાખશે. પશ્ચિમને થોડું ભાંડી નાખો એજ યુજુઅલ ભારતીયો ખુશ થઈ જવાના, આપણો ટી આર પી જળવાઈ જવો જોઈએ. લેસ્લીએ ડોક્યુમેન્ટરી બનાવી ભાંડી નાખો પશ્ચિમને, દીપિકાએ મારી મરજી કહ્યું ભાંડી નાખો પશ્ચિમને, બિહારમાં પરીક્ષાઓમાં થતી ચોરીઓના ફોટા વિદેશમાં પહોચ્યા ભાંડી નાખો પશ્ચિમને. કેટલાક યુવાનોએ મધર્સ ડે, ફાધર્સ ડે, વૅલન્ટાઇન ડે, ટીચર્સ ડે ઊજવ્યા ભાંડી નાખો પશ્ચિમને.

યુવાનોને વખોડ્યા વગર, પશ્ચિમને વખોડ્યા વગર આપણી પાસે જે જે તહેવારો છે તેને અપડેટ કરવા જોઈએ. આપણી પાસે ગુરુ પૂર્ણિમા છે જ. એ દિવસે ગુરુ ઘંટાલો પાછળ દોટો મૂકવાને બદલે યુવાનોને ટીચર્સ ડે ઊજવવા પ્રેરિત કરવા જોઈએ તો ફરી બીજો ટીચર્સ ડે ઊજવવા નહિ દોડે. આજના યુવાનને એના ટીચર્સમાં શ્રદ્ધા હશે તેટલી તમારા ટીલા ટપકા કરેલા પૈસા પડાવતા અવૈજ્ઞાનિક વાતો કરતા ગુરુ ઘંટાલ પ્રત્યે નહિ જાગે. પણ તમારે આવા લુચ્ચા ગુરુઓ પાછળ દોટો મૂકવી છે અને છોકરાને ટીચર્સ ડે ઊજવવા દેવો નથી. વસંત પંચમીને અપડેટ કરો વૅલન્ટાઇન ડે નહિ મનાવે. નવરાત્રિમાં કાલ્પનિક પ્રતીકાત્મક માતાઓ સાથે ઘરની અસલી માતાઓનું પૂજન કરવાનું શીખવો મધર્સ ડે નહિ મનાવે. પિતાજી તો મૂંગામંતર બલિદાન આપવા માટે જ હોય છે એમનો કોઈ દિવસ છે નહિ. દિવાળીને અપડેટ કરો. યુવાનોને સમજાવો કે વર્ષના અંતે દિવાળી અને ક્રિસમસ જેવા બે તહેવાર એક જ ટાઈપનાં જરૂરી નથી. દિવાળીમાં ક્રિસમસનો ચાર્મ ઉમેરો, થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરનું થ્રિલ ઉમેરો તો ફરી ક્રિસમસ ઊજવવા કોઈ તૈયાર નહિ થાય. આપણી પાસે પશ્ચિમ કરતા વધુ તહેવારો છે. છતાં આપણા તહેવારોમાં કશું ખૂટે છે, કશું નવું માંગે છે આજના યુવાનો. એટલે પશ્ચિમના તહેવારો તરફ દોટ મૂકે છે.

આપણે તહેવારોને તહેવારો રહેવા દીધા નથી ધાર્મિક મેળાવડા બનાવી દીધા છે. યુવાનોને ઇનોસન્ટ આનંદ માણવો હોય છે.    Mothers-Day-DP-For-Facebook

યાવતચંદ્રદિવાકરો રાજ કોઈના તપતાં નથી

યાવતચંદ્રદિવાકરો રાજ કોઈના તપતાં નથી

યાવતચંદ્રદિવાકરો(સૂરજચંદ્ર તપે ત્યાં સુધી) રાજ કોઈના ટકતા નથી, ટક્યા નથી અને ટકવાનાં પણ નથી. જગત સતત પરિવર્તનશીલ છે. ધીમી ગતિનું મક્કમ પરિવર્તન આપણે સ્વીકારી શકતા નથી પછી ઇતિહાસને વખોડતા હોઈએ છીએ કે પહેલા આણે આમ કર્યું હોત તો આજે આમ નાં હોત. એક સમયે યુરોપમાં રોમન સામ્રાજ્યનો સૂરજ તપતો હતો છેક ઈજીપ્ત સુધી રોમન સામ્રાજ્યનો ડંકો વાગતો હતો. મોટા નગર વસાવવાનું એમણે શરૂ કરેલું એમ કહેવાય છે. એક સમયે આર્યાવર્ત પર આર્યોનો પચ્છમ લહેરાતો હતો. આર્યાવર્ત કોઈ નાનું નહોતું. ભારત અફઘાનિસ્તાન અને ઈરાન સુધી આર્યોનો ધ્વજ ફરકતો હતો. યુધિષ્ઠિરનાં બે બાહોશ ભાઈઓ ભીમ અને અર્જુન ભારતના સીમાડા બહાર એમનો ધ્વજ ફરકાવી ચૂક્યા હતા, ત્યાં પશ્ચિમ ભારતમાં કૃષ્ણ ડંકો વગાડી રહ્યા હતા. કૃષ્ણની દ્વારકાનો વેપાર રોમ સાથે પણ ચાલતો. પુરાતત્વ ખાતાના ડૉ રાવ ડૂબેલી દ્વારકાની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે એમને રોમન સ્ટાઇલનાં દારુ ભરવાના પીપ મળ્યા હતા.

ભગવાન કહેવાતા કૃષ્ણ લાચારીસહિત યાદવોને લડતા અને એમનો નાશ થતા જોઈ જ રહ્યા હતા. કૃષ્ણે આમ કર્યું હોત કે તેમ કર્યું હોત તો યાદવોનો નાશ ના થયો હોત એવું આજે આપણે કહેવું હોય કહી શકીએ છીએ. આજનું મીડિયા કહી શકે છે યાદવકુલનાં નાશ પાછળ વિદેશી તત્વોનો હાથ છે, કે ભાઈ રોમન બનાવટનાં દારૂ ભરવાના પીપ જો મળ્યા છે અને દારૂ પી છાકટા બની યાદવો અંદરોઅંદર લડીને મર્યા. પણ આ બધું કૃષ્ણ જાતે જોઈ રહ્યા હતા. કૃષ્ણે આમ કર્યું હોત કે તેમ કર્યું હોત તો મહાભારતના યુદ્ધમાં થયેલો સર્વનાશ પણ રોકાઈ શક્યો હોત કે નહિ? કૃષ્ણ ચોક્કસ રોકી શક્યા હોત એવું વિચારી જૈનો કૃષ્ણને દોષ દેતા જ હોય છે અને એટલે એમને સાતમાં નરકમાં નાખેલા છે. હું અમસ્તો નરકમાં ફરવા થોડો ગયો હોઈશ? કૃષ્ણનો ઈન્ટરવ્યું લેવા ગયેલો.

untitled-=-=કૃષ્ણ મહાભારત રોકી શક્યા હોત તેવું આજે જૈનો વિચારે છે અદ્દલ તે જ રીતે આજે આપણે પૃથ્વીરાજ ચૌહાણ વિષે વિચારીએ છીએ કે પૃથ્વીરાજ હાર્યો નાં હોત કે એણે ઘોરીને ૧૬ વાર માફ ના કર્યો હોત તો આજે ઇતિહાસ જુદો હોત. મુસલમાનો ભારતમાં ના હોત વગેરે વગેરે. ચાલો પૃથ્વીરાજ જીતી ગયો હોત તો પણ ઇતિહાસ આજે છે તે જ હોત. પહેલું તો ઘોરી ૧૬ વાર ચડાઈ કરવા આવ્યો જ નહોતો. પૃથ્વીરાજ અને ઘોરી વચ્ચે બે જ વાર લડાઈ થયેલી. પહેલીવાર તે ઓછા સૈન્યબળ સાથે આવ્યો હશે કે જે હોય તે, પૃથ્વીરાજ સામે ટક્યો નહિ અને ભાગી ગયેલો. બીજીવાર પૂરતી તૈયારી કરીને આવ્યો હશે તે પૃથ્વીરાજ હાર્યો એને પકડીને તે લઈ ગયો હતો. હારેલા પૃથ્વીરાજને ગ્લોરીફાઈ કરવા કવિઓએ બનાવટી વાર્તાઓ રચી કાઢી કે ૧૬ વાર માફ કર્યો અને અંધ બનાવેલા પૃથ્વીરાજે શબ્દવેધી બાણવિદ્યા દ્વારા ઘોરીને હણી નાખ્યો તેનું ઐતિહાસિક પ્રમાણ મળતું નથી. પૃથ્વીરાજનાં મર્યા પછી ઘણા વર્ષો બાદ ઘોરી મરાયો છે તેવું ઇતિહાસ કહે છે.

ચાલો પૃથ્વીરાજ જીતો ગયો ને ઘોરી ભાગી ગયો તે સમય પૂરતા મુસલમાનો બહાર રોકાઈ ગયા પણ પછી? ઘોરી એ મરી ગયો પણ પછી? ઘોરીની જગ્યાએ બેઠેલો બીજો કોઈ ચડી નાં આવ્યો હોત તેની ગેરંટી હતી ખરી? અને એની સામે પૃથ્વીરાજની જગ્યાએ બેઠેલો એનો પુત્ર જીત્યો હોત તેની કોઈ ગેરંટી હતી ખરી? પૃથ્વીરાજ જીત્યો હોત પણ એની જગ્યાએ બેઠેલો એનો કોઈ વંશજ પાછળથી હાર્યો હોત તો આજે આપણે પૃથ્વીરાજને બદલે એના વંશજ ને ગાળો દેત.

આપણે તો ગાળ દેવા આજે કોઈ પાત્ર જ જોઈએ ને?

સિકંદર એકવાર નહિ અવારનવાર ચડી આવ્યો છે. પણ સમ્રાટ ચંદ્રગુપ્તના હાથીઓનું લશ્કર જોઈ ભાગવું પડતું હતું. ચંદ્રગુપ્તના યુદ્ધ કૌશલ આગળ એને પાછું ફરવું પડતું હતું.

જો ચંદ્રગુપ્ત હાર્યો હોત તો આજે આપણે ચંદ્રગુપ્તને ચોપડાવતા હોત. imagesCAI4GAG2

સિકંદર અને ચંદ્રગુપ્ત તો મહમ્મદ અને ઈસુના જન્મ પહેલાના. એક સમયે દુનિયાના તમામ રસ્તા રોમ તરફ જતા હતા. ઈજીપ્ત અને ઇઝરાયલ ઉપર પણ રોમનો રાજ કરતા હતા. ઈસુને ક્રોસ પર લટકાવનાર યહૂદી નહિ રોમન હતા. જોકે યહૂદીના કહેવાથી લટકાવેલા તે વાત જુદી છે. પાછળથી આજ રોમન રાજાઓએ જીસસને અપનાવ્યા અને આખા યુરોપમાં જીસસ જીસસ થઈ ગયું. રોમમાં રાજાઓ હતા તો સેનેટ પણ હતું, પ્રજાના પ્રતિનિધિઓ પણ રાજકાજમાં ભાગ લેતા. પણ જર્મેનિક ટ્રાઈબ ગણાતા બાર્બેરિયન ટોળા રોમ પર અવારનવાર હુમલા કરતા. Frankish Tribe બહુ જોરાવર હતી તેણે રોમના અન્ડરમાં રહેલા વેસ્ટર્ન યુરોપ પર કબજો જમાવ્યો અને કાલક્રમે એકવારના જંગલી બાર્બેરિયન આજે સુસંસ્કૃત કલાપ્રેમી ફ્રાન્સના ફ્રેંચ તરીકે ઓળખાય છે. Saxon આવી જ એક Germanic Tribe હતી તે પણ રોમનોની પત્તર ઝીંકતા હતા. તે ઇંગ્લૅન્ડ અને હોલૅન્ડ બાજુ વસી ગયા. લોમ્બાર્ડ ઇટાલીમાં રહી ગયા. Hun-Nomadic વોલ્ગા નદી બાજુથી તે યુરોપ સુધી અને છેક ભારત સુધી ઘોડા પર ધરતી ધમરોળતા. Yuezhi Tribe કહેવાતા કુશાન તો ભારતમાં આવી ભારતીય જ બની ગયેલા. એક સમયનું મહાન રોમન સામ્રાજ્ય આજે યુરોપના નાના દેશોરૂપી ટુકડાઓમાં વહેંચાઈ ગયું છે.

સાઉથઇસ્ટ યુરોપ, વેસ્ટર્ન એશિયા અને નૉર્થ આફ્રિકા સહિત પુરા બાવન લાખ ચોરસ કિલોમીટર ઉપર પૂરી છ સદીઓ રાજ કરતા ગ્રેટ Ottoman સામ્રાજ્યનાં સુલતાનો આગળ ભારતના મહાન મુઘલોના ચણામમરા એ નાં આવે. ભારતમાં મુસલમાનો પહેલા પણ જંગલી કહેવાતા ટોળા ચડી આવતા જ હતા. પણ તે સમયના સમ્રાટો રોકી રાખવા સફળ બની જતા. ગુપ્ત સમ્રાટોએ ૭૦૦ વર્ષ સીમાડા સાચવ્યા હતા. શક, હૂણ અને કુષાણ જેવા ટોળા પાસે પોતાની કોઈ ચોક્કસ ઘડેલી સંસ્કૃતિ કે વિચારધારા કે જીવન પદ્ધતિ કે ધર્મ નહિ હોય તે ભારતમાં આવવા સફળ થયા પછી અહીંની સંસ્કૃતિમાં એવા સમાઈ ગયા કે આજે ખબર જ નાં પડે. સિકંદર પાસે પણ કોઈ ધર્મ નહતો, જીસસ ત્યારે જન્મ્યા નહોતા.

પણ ત્યાર પછી ભારત પર હુમલા કરતા ટોળા પાસે મહંમદે આપેલી એક ચોક્કસ વિચારધારા હતી, સંસ્કૃતિ હતી, ધર્મ હતો. તેઓ આપણામાં ભળવા નહિ આપણને તેઓમાં ભળી જવા માટેના આદેશ લઈને આવતા હતા. ગઝની નાં આવ્યો હોત તો ઘોરી પાછળ આવવાનો જ હતો. ઘોરી નાં આવ્યો હોત તો પાછળ ખીલજી રેડી જ હતો. ખીલજી હાર્યો હોત તો પછી લોદી સાથે લડવાનું જ હતું. લોદી પછી મુઘલ તો તૈયાર જ હતો. ગ્રેટ ઓટોમન સામ્રાજ્યનું પ્રેરક બળ કોઈને ને કોઈને ભારત તરફ ધકેલ્યા જ કરવાનું હતું. મુઘલો પણ ત્રણસો વર્ષથી વધુ ક્યાં ટક્યા? તેની પાછળ જેનો સૂરજ કદી આથમે નહિ તે બ્રિટીશ સામ્રાજ્ય આવ્યું જ ને? શું મુઘલો પાસે યુદ્ધ કૌશલ્ય નહોતું? રમખાણો થાય ત્યારે ખાલી પોલીસની સાયરન વગાડતી જીપ આવે તો દોટ મૂકી ઘરમાં પેસી જતા બાહોશ જાણકાર પંડિત મિત્રો રાજપૂતોએ યુદ્ધ કૌશલ્ય ગુમાવ્યું એવું કહેતા હોય છે. તો શું બ્રીટીશરો પાસે ઓછું યુદ્ધ કૌશલ્ય હતું? કેમ ધીમે ધીમે એનો સૂરજ ફક્ત ઈંગ્લેન્ડ પૂરતો રહી ગયો?

મૂળ તો ઑથેન્ટિક બનાવવા ભગવાનના મુખે મુકાયેલ, ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણોનું સર્જન કર્યું છે; તેનો કર્તા હું છું છતાં મને તું અકર્તા અને અવિકારી જાણ ||૪.૧૩|| શ્લોકના સ્વાર્થ માટે સમાજના ઉપલા વર્ગ દ્વારા કરાયેલા ગલત અર્થ અને અમલ સાથે ભારતીય સમાજની બ્લ્યુ પ્રિન્ટ બગડવાની શરૂઆત થઈ ચૂકી હતી. સમાજનો ફક્ત ચોથો ભાગ એક જ વર્ગ લડવા જાય એટલે તે વર્ગ ધીમે ધીમે સંખ્યામાં ઓછો થવાનો. પહેલા ૧૦૦માંથી ચોથો ભાગ ૨૫ લડવા જતા હોય પણ કાલક્રમે ૧૦૦ માંથી લડે તેવા બેત્રણ જ બચ્યા હોય. ૫૦૦૦ વર્ષથી એક જ વર્ગ લડતો હતો બાકીના ઉભા ઉભા જોયા કરતા. શૂદ્રને તો સેવા જ કરવાની હતી. જે રાજ કરે તે અમારે તો બાકીના ત્રણ વર્ગના કચરા જ ઉઠાવવાનાં છે ને?

કોઈ પણ નવા પ્રયોગના સારા અને ખોટા પરિણામો હોય છે. પ્રૉબ્લેમ એ થયો કે દરેકને પોતપોતાનું કામ વહેંચી દીધું. એટલે એક બીજાનું કામ કોઈ કરવા તૈયાર જ ના થાય. ભાઈ તું ક્ષત્રિય લડવાનું કામ, રક્ષા કરવાનું કામ ફક્ત તારું અમારું નહિ. બ્રાહ્મણ કહેશે હું તો વિદ્યા આપું લડવાનું કામ મારું નહિ. વૈશ્ય કહેશે અમે તો વાણિયા સપનામાં પણ તલવાર જોઈ ના હોય. અમે તો કીડી મરી ના જાય એનું પણ ધ્યાન રાખીએ અમે શું લડવાના હતા. તમતમારે લડો, અહિંસા પરમ ધર્મ. હવે કાયમ લડી લડી ને કાયમ યુદ્ધોમાં જઈ જઈ ને ક્ષત્રિયો ઓછા થવાના. લડવામાં જીવ પણ ખોવા પડે. એ કઈ ખો ખો રમવાનું તો છે નહિ. વસ્તી ઘટતી ગઈ, એટલે છૂટ આપી વધારે સ્ત્રીઓ રાખો, એક સાથે વધારે સ્ત્રીઓ સાથે લગ્ન કરો અને વસ્તી વધારો, પણ અમે તો યુદ્ધમાં ના જઈએ. દરેકની લીમીટ હોય. એક બાળક પેદા કરતા વર્ષ નીકળી જાય અને મોટું કરી યુદ્ધમાં જવા તૈયાર કરતા ૨૦ વરસ નીકળી જાય એટલામાં તો હજારો કપાઈ માર્યા હોય. પછી દસ બૈરાં રાખો તો પણ કઈ રીતે પહોચી શકાય.

બીજું વર્ણ વ્યવસ્થા ને લીધે કોઈ પણ બે વર્ણો વચ્ચે લોહીના સંબંધ જ ના રહ્યા, એના લીધે લાગણીજ ના રહી. અને એને લીધે કોઈ સંપ પણ ના રહ્યો. હવે આ રજપૂતો બહાદુર ખુબજ હતા પણ સંખ્યા ઓછી પડતી. એટલે જ્યારે લાગે કે હવે હારવાના જ છીએ તો ભાગતા નહિ. છુપાતા નહિ. પણ કેસરિયા કરતા. મતલબ કે દુશ્મનના સૈન્યમાં મરવા માટે કૂદી પડતા. એક તો હોય સંખ્યામાં બિલકુલ ઓછા, બધા કપાઈ મરતા, કેસરિયા એટલે સુસાઈડ, સામૂહિક આપઘાત જ કહેવાય. આ કોઈ જેવી તેવી બહાદુરી ના હતી. અને આ બાજુ એમની સ્ત્રીઓ એક મોટા કૂવામાં આગ પેટાવી એક પછી એક કૂદી પડતી, આને સામૂહિક સુસાઈડ કહેવાય. હવે સ્ત્રીઓ પણ ઓછી થતી જાય અને પુરુષો પણ, અને બીજા કોઈ લડવા નીકળે નહિ. એટલે હિંદુ ધર્મે રાજપૂતો ને મોટા ભા તો બનાવ્યા સાથે સાથે કપાઈ મરવાનો પરવાનો, દસ્તાવેજ પણ લખી આપ્યો. અને બીજા વર્ણના લોકોને લાગણી પણ ન થાય મરો  એ જ તો તમારું કામ છે. કેમ કે લોહીનો કોઈ સંબંધ જ ના હોય એટલે કોણ રડે? અતિશય સંખ્યા આગળ બહાદુરી કોઈ કામ ના લાગે.

આજે સવાલ થાય છે કે ગઝની આવ્યો ત્યારે ભીમદેવ કેમ લડ્યો નહિ ને કચ્છમાં ભાગી ગયો? પણ સંખ્યામાં ગઝની કરતા એટલો ઓછો હતો કે બધા મરવાનાં જ હતા. હમીરજી ગઝની સામે લડવા ગયા ત્યારે ૩૦૦-૪૦૦ રાજપૂતોને લઈને ગયેલા. બધા સાફ થઈ ગયા. આપણે એમની બહાદુરીના ગુણગાન ગાઈએ છીએ પણ એમનો વંશ તો ખલાસ થઈ ગયો. સામે ભીમદેવે ભાગી જઈ વંશ બચાવી ફરી રાજ કર્યું ને કર્ણદેવ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા રાજાઓ પણ આપ્યા. શાક સમારતા ચપ્પુ વાગી જાય તો રાડારાડ કરી નાખતી અને ડૉક્ટર ઇન્જેક્શન આપે તો આડું જોતી અને કોઈને લોહી નીકળે તો જોઇને ચક્કર ખાઈ પડી જતી પ્રજા આજે દુશ્મનોના માથા વધેરતા ઊડતી લોહીની પિચકારીઓ વડે રંગાઈ જતા રજપૂતો વિષે ખણખોદ કરતી જોઇને હસવું આવે છે. અંગ્રેજો આવ્યા પછી રજપૂતો ને લડવાનું રહ્યું નહિ, એટલે એશોઆરામમાં પડી ગયા એ વાત જુદી છે.

હું નાનો હતો ઈડર બાજુ અમારા સગાઓને ત્યાં જતો ત્યાં આખા ગામમાં રાજપૂતોના બેચાર ઘર જ હોય બાકી આખુ ગામ ઇતર કોમથી ભરેલું હોય. આઝાદી પછી ગણો કે અંગ્રેજો આવ્યા પછી ગણો રાજપૂતોની વસ્તી ધીમે ધીમે વધી હશે છતાં આજે પણ તમારે માર્ક કરવું હોય તો કરજો કોઈ પણ ગામમાં બીજી બધી કોમ કરતા સંખ્યામાં રાજપૂતોની વસ્તી ઓછી જ હશે.

ચતુર્વર્ણ મયા સૃષ્ટમનાં ગલત અર્થ અને અમલ જેવા બીજા અનેક એવા મૂલ્યો હતા જેણે ભારતીય સમાજની આખેઆખી બ્લ્યુ પ્રિન્ટ બગાડવાનું કામ કરેલું છે તેના પરિણામે આક્રમણકારો આવ્યા ને મહાન ભારત એક દસ હજાર વર્ષ જૂની સંસ્કૃતિ ધ્વસ્ત થઈ ગઈ, ઘૂંટણે પડી ગઈ. એક થાળીમાં ખાનારા સામે જુદી જુદી થાળીઓમાં ખાનારા હારી ગયા.

યાવતચંદ્રદિવાકરો રાજ કોઈના તપ્યા નથી તપવાના પણ નથી. આર્યન હોય, પર્સિયન હોય કે રોમન, ઓટોમન હોય કે બ્રિટન, એક દિવસ સૂરજ આથમવાનો જ છે અને ક્યાંક બીજે ઊગવાનો પણ એટલો જ છે.

પૃથ્વીરાજ હાર્યો નાં હોત તો એની પછી આવેલો બીજો કોઈ હાર્યો હોત.

સંઘર્ષ (કૉન્ફ્લિક્ટ) ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ

untitledસંઘર્ષ (કૉન્ફ્લિક્ટ) ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ

સમાજનો બહુ મોટો વર્ગ હમેશાં કૉન્ફ્લિક્ટ થી દૂર રહેતો હોય છે. સંઘર્ષ ટાળતો હોય છે. અથડામણમાં પડવું નાં પડે તેના ઉપાય કર્યા કરતો હોય છે. થોડા દિવસ પર ગુજરાતમાં તેમાં પણ અમદાવાદ જ હશે, કોઈ મૅનેજમેન્ટ સંસ્થાના ઉપક્રમે કૉન્ફ્લિક્ટ વિષે ચિંતન શિબિર ચાલતી હતી, તેમાં જુદાજુદા ક્ષેત્રના વક્તાઓ બોલવા આવતા હતા. તેમાં કોઈ સાધુ કે ગુરુ પણ આવેલા. બધે સાધુઓ શું કામ બોલાવતા હશે મને સમજાતું નથી. પણ તે મહારાજ ઉપજાવી કાઢેલો દાખલો આપતા હતા, કે એક કપલ ટ્રેનમાં બેઠેલું, કોઈ સ્ટેશન આવતા ચા પીવા ઊતર્યું હશે, ટ્રેન ઊપડી પેલાં ભાઈ ચડી ગયા અને એની વાઈફ નીચે રહી ગઈ. મહારાજે કટાક્ષ માર્યો મૅનેજમેન્ટ ભણેલા શ્રોતાઓ આગળ કે આ ભાઈએ રામાયણ વાંચી હોત તો આવું નાં થાત. મને ખૂબ હસવું આવ્યું આ વાત ‘સંદેશ’માં વાંચીને. હું ત્યાં હાજર હોત તો બાવાજીને કહેત કે આણે રામાયણ વાંચી હશે કે સાંભળી હશે માટે આવું થયું હશે. રામે સીતાજીને વગર વાંકે છોડી જ દીધેલા ને? બીજા કોઈ બહેનજીએ ભાષણ એમાં આપેલું કે ગીતામાં એનો ઉપાય છે. આખું મહાભારત કૉન્ફ્લિક્ટ ઉપર તો રચાયું છે. બે ભાઈઓના વંશજો વચ્ચે બહુ મોટો સંઘર્ષ હતો.. કૃષ્ણે શક્ય પ્રયાસ કૉન્ફ્લિક્ટ ટાળવા કર્યા. પણ તે સર્વાઈવલનાં ભોગે નહિ.. સર્વાઈવલ બે રીતે થાય છે. એક તો કૉન્ફ્લિક્ટ સ્વીકારી એનો પડકાર ઝીલીને, અને બીજો શરણે થઈ કૉન્ફ્લિક્ટ ટાળવો. અર્જુન તો હથિયાર હેઠાં મૂકી કૉન્ફ્લિક્ટ ટાળવા તૈયાર હતો. ત્યારે કૃષ્ણે ઊલટો અથડામણ માટે એને તૈયાર કર્યો. શરણે થઈ જીવવું તે પણ અર્જુન જેવા જન્મજાત લડવૈયા માટે મૃત્યુથી બદતર બની જાત. એ જિના ભી કોઈ જિના હૈ લલ્લુ?  ટેમ્પરરી ભાંગી પડેલા અર્જુન પાસે કૉન્ફ્લિક્ટ સ્વીકારવા અને એનો સામનો કરવા તૈયાર કર્યો તેનું નામ ગીતા.

રામે પણ રાવણ જેવા બાહુબલિ નેતા આગળ સંઘર્ષ ટાળ્યો નથી..એનો સામનો કર્યો છે, સંઘર્ષમાં ઊતર્યા છે અને જીત્યા છે. પણ સમાજનો મોટો વર્ગ હમેશાં કૉન્ફ્લિક્ટ ટાળવાની કોશિશ કરતો હોય છે. કારણ આપણા પૂર્વજો બને ત્યાં સુધી અથડામણ ટાળતા. આપણા પૂર્વજોના જીવન સહેલા નહોતા. એલ્ફા ચિમ્પૅન્ઝી એના વિરુદ્ધ કોઈ જાય તો બરોબર ઝૂડી નાખતો હોય છે. ચિમ્પૅન્ઝીનાં ગ્રૂપમાં લગભગ દરેક સભ્યે કોઈને કોઈ અંગ ગુમાવેલું હોય છે. સંઘર્ષ વગર ખોરાક મળતો નહિ, કે અથડામણ કર્યા વગર ફીમેલ મળતી નહિ. ચાલો એક સમયે ખોરાક તો મળી જાય imagesCADFYXMMપણ બીજા સાથે સંઘર્ષ વગર ફીમેલ તો મળતી જ નહિ. પણ સંઘર્ષ કરવામાં જીવ ગુમાવવો પડે તો સૌથી વધુ નુકશાન. એટલે મૅમલ બ્રેન જાણતું જ હોય છે કે ક્યારે સંઘર્ષ કરવો અને ક્યારે અથડામણ ટાળવી. મૅમલ બ્રેન સતત પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યા જ કરતું હોય છે કે ક્યારે લડવું અને ક્યારે શરણે થવું. બે મૅમલ ભેગાં થાય એટલે કમ્પેરીજન શરુ. પછી તે માનવી હોય કે બીજા એનિમલ. ધાર્મિક ચમ્પુઓને બોલાવી આશરે ૨૦૦ મિલ્યન વર્ષથી વિકસેલી અદ્ભુત લિમ્બિક સિસ્ટમ(મૅમલ બ્રેન)ને તમે આજે કૉન્ફ્લિક્ટ વિષે શિખામણ આપો હસવા જેવું છે ને? અને આ જ્યાં ને ત્યાં પગે લાગી ઉભા રહી જતા લોકો તમને એવું જ શીખવશે, કે કોઈપણ હિસાબે કૉન્ફ્લિક્ટ ટાળો, સહન કરો, આપણી તે સંસ્કૃતિ છે.

કૃષ્ણને ખબર હતી કે છેવટે પાંચ ગામ આપે તો ખાવાની સગવડ તો થઈ જશે અને પાંચ ગામના ધણી તરીકે માન પણ જળવાઈ જશે, આત્માનું હનન નહિ થાય. એટલે કૉન્ફ્લિક્ટ ટાળવા છેવટે પાંચ ગામ માંગ્યા પણ દુર્યોધન તસુભાર જમીન આપવા તૈયાર થયો નહિ તો પછી હે ! પાર્થ ઊભો થા ચડાવ બાણ અને સંઘર્ષનો સ્વીકાર કર. અને અર્જુન સામે સગાવહાલા જોઈ કેમ કંપી ગયો? કેમ ગાત્રો ગળી ગયા? સિદંતી મમ ગાત્રાણી..કેમ ગાંડીવ સરી પડ્યું? સામે સગાઓ નાં હોત તો ઝાલ્યો નાં રહેત જેમ હું ધાર્મિક કે સામાજિક પાખંડો સામે ઝાલ્યો નથી રહી શકતો. સામે બીજા હોત કે બીજા કોઈ દેશના દુશ્મનો હોત કે સગાઓ નાં હોત તો અર્જુન ક્યારનો ધડબડાટી બોલાવતો હોત. તો ગીતા રચાઈ પણ નાં હોત. મૂળ વાત એ છે કે Gene Pool જીનપુલમાં પોતાના Genes ની બહુમતી હોય, પોતાના વંશ કે genes સૌથી વધુ હોય તે દરેક પ્રાણી ઇચ્છતું હોય છે. આ પણ સર્વાઈવલનો એક ઉપાય છે. ભલે મારા ખુદના અંગત gene આગળ વધ્યા નાં હોય પણ મારા ભાઈના gene મારા જ gene કહેવાય. એટલે સામે સગા ભાઈઓ કે પિતરાઈ ભાઈઓ હોય તેમાં આપણા જ genes હોય છે તેમનો નાશ કરવો અઘરો લાગે. એટલે સામે સગાઓ જોઈ અર્જુન ઢીલો પડી ગયો. છતાં જીવન હમેશાં વિરોધાભાસ વડે ઘેરાયેલું હોય છે. ક્યારેક વ્યકિગત genes માટે વ્યક્તિગત સ્વાર્થ માટે બીજાનાં બલિદાન લેવાતા હોય છે તેમ સમૂહના સ્વાર્થ માટે કે ભલા માટે, સમૂહના genes માટે વ્યક્તિઓ ખુદના બલિદાન આપતા પણ હોય છે. પણ કૃષ્ણ જાણતા હતા કે ક્યારે સંઘર્ષ ટાળવો અને ક્યારે સ્વીકારી લડી લેવું. એટલે હું કાયમ કહેતો હોઉં છું કે કૃષ્ણ મારે મન કોઈ ભગવાન નહિ પણ સર્વાઈવલનાં યુદ્ધના મહાયોદ્ધા છે.

ક્યારેક હકારાત્મકતા ને બહાને કૉન્ફ્લિક્ટ ટાળવામાં આવતો હોય છે. સંઘર્ષ કરવામાં નકારાત્મકતા દેખાતી હોય છે. સામાજિક કે ધાર્મિક બદીઓ સામે તમે આંગળી ચીંધો તો અમુક વર્ગ તરત કહેવાનો કે સારું સારું જુઓ. ખરાબ સામે નાં જુઓ. હકારાત્મક બનો, પોજીટીવ બનો. સારી બાજુઓ ઘણી છે તેને ઉજાગર કરો. અરે ભાઈ બદીઓ સામે જોઈશું જ નહિ તો એને દૂર ક્યારે કરીશું? ગંદકી ગંદકી છે તેવી જાણ પણ હોવી જોઈ ને? આપણે એવી કેટલીય સામાજિક ગન્દકીઓને સંસ્કૃતિ કહીને પાળી રાખી છે. જે તે સમયે સામાજિક રિવાજો ભલે યોગ્ય લાગતા હોય આજે નાં પણ હોય. તેને બદલવા પડે કે નહિ? સામાજિક અને ધાર્મિક ઍલ્ફાઓએ એમના સ્વાર્થ માટે સમૂહના સ્વાર્થ જોખમમાં મૂકીને એવી કેટલીય સામાજિક અને ધાર્મિક ગંદકીઓને ધર્મ, પરમ્પરા અને સંસ્કૃતિમાં ખપાવી દીધી છે. હવે એના સામે કોઈ આંગળી ચીંધે તો નકારાત્મક વિચારો ધરાવે છે કહી રોકવામાં આવે છે. હવે જે સારું છે તે સારું જ રહેવાનું છે. એ કાઈ ખોટું થઈ જવાનું નથી. જરૂર છે ગંદું છે તેને ઉજાગર કરી સાફ કરવાની. હવે એમાં પછી કામ કરવામાં માનું છું તેવી દલીલ આવે છે. આંગળી નાં ચીંધો કામ કરો. હવે હું કે તમે દરેકના ઘર સાફ કરવા તો જવાના નથી. પણ ઘર સાફ કરી શકાય છે તેવો એક વિચાર તો મૂકી શકું છું. આતો જસ્ટ દાખલો આપું છું. એક તો પહેલું ઘર ગંદું છે તે જ ખબર હોતી નથી. અને ખબર પડે તો તેને સાફ કરી શકાય તે પણ ખબર હોતી નથી. ગંદું રાખવાની પરમ્પરા તોડી શકાય તેવી હિંમત પણ હોતી નથી.

કાર્લ માર્ક્સ શું ઘેર ઘેર ફરેલો સામ્યવાદ સમજાવવા કે અમલ કરાવવા? એક પુસ્તક રૂપે વિચાર મૂક્યો જેને સામ્યવાદ ગમતો હોય તે અમલ કરે. ગંદકી ગંદકી છે આ કોઈ પવિત્ર પ્રસાદ નથી તેવું કહેવાની હિંમત કરનાર, આંગળી ચીંધનાર આજે ભલે તમને નકારાત્મક લાગતો હોય સૌથી મોટું હકારાત્મક કામ તે જ કરી રહ્યો છે. ગંદકી આપણને સદીઓથી સદી ગઈ છે માટે ચોખ્ખાઈ રાખવામાં સ્વતંત્રતા હણાઈ જતી હોય તેવું લાગે છે, ગંદકી કરવાની સ્વતંત્રતા.. થૂંકવા માટે બે ડગલા ચાલી વોશબેસીન સુધી જવામાં જોર તો પડે જ ને? જાહેરમાં નાક ખંખેરવાની સ્વતંત્રતા કોઈ હણી લે તે ચાલે ખરું? અને જાહેરમાં નાક ખોતરવાની પરમ્પરા તો આપણી સંસ્કૃતિ છે તેના પર કોઈ તરાપ મારે તો નકારાત્મક અભિગમ કહેવાય કે નહિ? ડૉક્ટર ક્યાં નસ્તર મૂકશે? જ્યાં ગૂમડું હોય ત્યાં. ત્યારે એવું કહેવાના કે મારા પગે ગૂમડું છે તે નાં જુઓ, હકારાત્મક બનો મારા શરીરની સારી બાજુ જુઓ મારા બાવડા જુઓ કેટલા સરસ ફૂલેલા છે?

imagesCA1E1ID9મૂળ વાત વિવાદમાં પડવું નથી. વિવાદમાં પડવામાં જોખમ છે. ધર્મ અને સંસ્કૃતિના બની બેઠેલા રખેવાળો કાગારોળ કરવા માંડે છે. ગાળો ખાવી પડે છે. સર્વાઈવલ માટે થ્રેટ અનુભવાય છે. સામાજિક અસ્વીકારનું જોખમ ઊભું થઈ જાય છે. સામાજિક અસ્વીકાર એટલે ટોળાની બહાર નીકળી ભૂલું પડેલું ઘેટું બ્રેનમાંથી કૉર્ટીસોલ સ્ત્રાવ થતા બેં બેં કરવા માંડે તેવું સમજવું. ઍલ્ફાની નજરમાંથી ઊતરી જવામાં બહુ મોટું થ્રેટ અનુભવાય છે. બસ આ સામાજિક થ્રેટની બીકમાં વર્ષો સુધી લોકો સહન કરે જતા હોય છે. ખબર હોય છે ખોટું થઈ રહ્યું છે પણ સામાજિક રીતે એકલાં પડી જવાનો ડર એમને વર્ષો સીધું ચૂપ રાખવામાં કામયાબ બની જતો હોય છે. પછી જ્યારે લાગે કે હવે ઍલ્ફા નબળો પડ્યો છે હવે એના વિરુદ્ધ બોલીશું તો વાંધો નહિ આવે ત્યારે બોલવાની હિંમત આવે છે. એમાં દસ વર્ષ બળાત્કાર સહન કરતા નીકળી ગયા હોય. ત્યારે આપણને એના પર શંકા જાય કે અત્યાર સુધી કેમ નાં બોલી? ક્યાંથી બોલે? તમે ખુદ એ જગ્યાએ હોવ તો બોલો ખરા? એક બોલે પછી જેણે જેણે સહન કર્યું હશે તેઓનામાં થોડી હિંમત આવશે તે એક પછી એક બહાર આવશે.

સર્વાઈવલ માટે સંઘર્ષ કરતું મૅમલ સર્વાઈવલનાં જોખમે કદી સંઘર્ષમાં ઊતરે નહિ.

પવિત્ર લગ્નવ્યવસ્થા ડામાડોળ

134392-134202પવિત્ર લગ્નવ્યવસ્થા ડામાડોળ

જગતમાંથી પવિત્ર ગણાતી લગ્નવ્યવસ્થા હવે ડામાડોળ થઈ ચૂકી છે. યુરોપમાં હવે લુપ્તપ્રાય સંસ્થામાં એનો સમાવેશ થઈ ગયો છે. અમેરિકામાં હજુ એની સ્થિતિસ્થાપકતા જાળવી રાખી છે. છતાં ભારત જેટલી મજબૂત અમેરિકામાં રહી નથી. પણ યુરોપ કરતા એની સ્થિતિ અહીં થોડી સારી છે અને તે પણ મિડલ ક્લાસ પૂરતી. ૧૯૨૦મા અમેરિકામાં કોઈ એપાર્ટમેન્ટ કે ઘર આસપાસ કોઈ એકલાં યુવાન કે યુવતી રહેતા જોવા મળે તો લોકો ભયભીત થઈ જતા. પણ ૧૯૬૦મા તો બાળક ધરાવતી એકલી યુવતીઓ મોટા પ્રમાણમાં જોવા મળવાનું શરુ થઈ ચૂક્યું હતું. Senator Daniel Patrick Moynihan જેવા કહેવા લાગ્યા કે આ સિંગલ પેઅરન્ટહૂડને લીધે ડ્રગ અડિક્શન અને ક્રાઇમ વધી ગયા છે. કાર્યકારણ અને પારસ્પરિક સંબંધમાં ફેર હોય છે. સિંગલ મધરના બાળકો બીજા કરતા વધારે ક્રાઈમમાં સંડોવાયેલા હોય છે તેનું કારણ સિંગલ પેઅરન્ટહૂડ નહિ પણ સિંગલ પેઅરન્ટહૂડનાં લીધે મળતી ગરીબી હોય છે. સ્વીડન જેવા દેશમાં ચાઈલ્ડ પૉવર્ટી ખતમ થઈ છે ત્યાં સિંગલ પેઅરન્ટહૂડ અને ક્રાઇમ વચ્ચેનું અસોસિએશન પણ ખતમ થઈ ગયું છે.

લગ્ન કર્યા વગર કે ડિવોર્સ લઈને એકલાં બાળકો ઉછેરવાનું વધતું જાય છે તેનું મહત્વનું કારણ સ્ત્રી હવે કમાતી થઈ છે. ડિવોર્સ લઈ લેવાનું પણ મહત્વનું કારણ સ્ત્રી કમાતી થઈ છે તો સહન શું કામ કરે તે પણ છે. કમાતી હોય અને બાળકો એકલાં ઉછેરી શકવા સક્ષમ હોય તો લગ્ન કરવા જરૂરી રહે નહિ. યુરોપમાં બાળક ધરાવતી સિંગલ મધરનો રેશિયો ૧૯૯૦ અને ૨૦૧૦ વચ્ચે ડબલ કરતા વધુ(૧૭.૪ થી ૩૮.૩) થઈ ચૂક્યો હતો. યુએસમાં આ રેશિયો ૧૯૬૦ અને ૨૦૦૯ વચ્ચે ૫.૩ ટકાથી ૪૧ ટકા સુધી વધી ચૂક્યો હતો.

ધાર્મિક રૂઢીચુસ્તોને બાજુએ રાખીએ તો એક શ્રીમંત ચુનંદો વર્ગ એવો હોય છે જેના માટે લગ્ન એકલાં બાળકો પેદા કરવા માટે મહત્વનાં નથી પણ સાથે સાથે બાળકો માટે ભવ્ય શ્રીમંત વારસો ઊભો કરવાનો હેતુ પણ હોય છે. બે શ્રીમંત કુટુંબનાં સ્ત્રીપુરુષ લગ્ન વડે જોડાઈ જશે. લગ્નમાં ખૂબ ખર્ચો કરી એમની શ્રીમંતાઈનું પ્રદર્શન કરશે. આમ કરી સમાજમાં એમનું સ્ટેટ્સ ઊંચું છે તે જતાવશે. એમના બાળકો મોઢામાં સોનાના ચમચા લઈને જન્મશે..

સ્વીડન જેવા જ્યાં સમાનતા વધુ છે તેવી લોકશાહીમાં લગ્નની ચિંતા કર્યા વગર યુવાન યુવતીઓ ભેગાં રહેવા માંડતા હોય છે. જેટલી સાદાઈ અને સહજતાથી ભેગાં રહેતા થયા હોય તેટલી સાદાઈ અને સહજતાથી છૂટાં પણ પડી જતા હોય છે. અને એમનાં બાળકો સરકારની ઉદાર ચાઈલ્ડ સપોર્ટ આપવાની નીતિને કારણે મોટા થઈ પણ જતા હોય છે. એના લીધે ત્યાં બાળગરીબી કે બાળમજૂરી દૂરની વાત છે.

યુરોપની સરખામણીએ યુ.એસ.માં child poverty રેટ ઉંચો છે. એટલે મિડલ ક્લાસ લોકો માટે લગ્ન કરી જોડાયેલા રહી બાળકો ઉછેરવાનું મહત્વનું છે. મિડલ ક્લાસ નેબરહૂડમાં રહીને બાળકોને સારી સ્કૂલમાં ભણાવી શકાય. આમ યુરોપ કરતાં લગ્ન અહીં થોડું વધારે માન મેળવી જાય છે. આમ યુરોપમાં તો લગ્નસંસ્થા લગભગ તૂટી ચૂકી છે. અમેરિકામાં પણ મોટાભાગના લોકો લગ્ન કર્યા વગર જ સાથે રહેતા હોય છે. છતાં યુરોપ કરતા અહીં વધુ લોકો લગ્ન કરીને સાથે રહેતા હોય છે.

એક તો લગ્ન કરવાની આદર્શ ઉંમરમાં પાંચ થી દસ વર્ષનો વધારો થઈ ગયો છે. ધારોકે પહેલા ૨૫ વર્ષે લગ્ન કરતા તો હવે ત્રીસ વર્ષે કરતા થઈ ગયા છે. હવે તો ત્રીસ વર્ષે પણ લગ્ન કરવા વહેલું ગણતા હોય છે. ભારતમાં પણ લગભગ આવું જ થતું હોય છે. હું નાનો હતો ત્યારે છોકરાને ૨૦-૨૨ વર્ષે તો પરણાવી દેવામાં આવતો. પછી એડ્યુકેશનનું મહત્વ વધ્યું તો ૨૫ વર્ષ લગ્ન કરવાની આદર્શ ઉંમર મનાતી. છોકરીઓ માટે તો ૨૦ વર્ષ બહુ થઈ ગયા તેવું કહેવાતું. હવે એમાં પણ વધારો થયો જ છે. વર્લ્ડવાઈડ સ્ત્રીઓની લગ્ન કરવાની ઉંમર ૧૯૭૦ અને ૨૦૦૫ સુધીમાં ૨૩ થી ૨૯ થઈ ગઈ છે. આમ સ્ત્રીઓ ભણવા, કમાવા અને કેરિયર પ્રત્યે વધુ ધ્યાન આપતી થઈ છે. આમ સ્ત્રીઓ પણ લગ્ન મોડા કરતી હોય છે ડિવોર્સ ઝડપથી લેતી જોવા મળી છે.

લાંબા લગ્નજીવન ભવિષ્યમાં ઇતિહાસ બની જવાના. યુએસમાં પણ લાંબા સહજીવન ગાળતા હોય તેવા વૃદ્ધ જોડલા હજુ જોવા મળે છે. મૂળ અમેરિકા પચરંગી દેશ છે એટલે જે તે દેશનું કલ્ચર, પરમ્પરા રીતરિવાજ અને માન્યતાઓ ભાગ ભજવતી હોય એમાં કોઈ શક નહિ. સ્વાભાવિક છે કે મૂળ અમેરિકનો કરતા મૂળ ભારતીયોમાં ડિવોર્સનું પ્રમાણ ઓછું જ હોય. એમાં વર્ષો પહેલા આવેલા ભારતીયોના લગ્નજીવન લાંબા હોય તે પણ સ્વાભાવિક છે.

આખી જીંદગી એક જ પાત્ર સાથે જોડાયેલા રહીને લાંબું લગ્નજીવન માણવું બહુ જૂની વાત નથી. સારસ કે હંસ ભલે એક પાત્ર સાથે જોડી બનાવે માનવ એ ખાસિયત માટે બનેલો નથી તે હકીકત છે. ઍન્થ્રપલૉજિકલ રિસર્ચ પ્રમાણે હન્ટર-ગેધરર સમાજોમાં એક જ પાત્ર સાથે સહજીવન કાયમી નહોતા. આપણે ગમેતેટલાં હવામાં ઊડીએ અને મહાનતાની વાતો કરીએ ૧૦ થી ૧૫ હજાર વર્ષ પહેલા દુનિયાના બધા સમાજો હન્ટર-ગેધરર જ હતા. હું એક લગભગ અનાવૃત ફરતા આદિવાસી સમાજની ડોક્યુમેન્ટરી જોતો હતો. તેમાં દર બે વર્ષે પાત્ર વિધિવત્ બદલાઈ જતું. તે સમાજમાં રિવાજ જ એવો હતો.  સ્ત્રીએ બે વર્ષ થાય એટલે તત્કાલીન પુરુષ સાથી છોડી એકાદબે મહિના એકાંતમાં એક ઝૂંપડીમાં રહેવાનું પછી બીજા પુરુષ સાથે સામાન્ય વિધિવિધાન કરીને નવેસરથી રહેવાનું. સમાજ બહુ નાનો અને લુપ્તપ્રાય થતો જતો હતો. એટલે દર બે વર્ષે પતિપત્ની બદલાઈ જાય અને સમાજ સંખ્યામાં બહુ નાનો એટલે ગૃપના દરેક પુખ્ત પુરુષને ગૃપની દરેક પુખ્ત સ્ત્રી સાથે રહેવા મળી જતું. એમાં ગૃપના વૃદ્ધ પુરુષને બે વર્ષ યુવાન સ્ત્રી સાથે રહેવાનો ચાન્સ પણ મળી જાય. રોટેશન ચાલ્યા કરે. કોઈને મનદુઃખ થાય નહિ કે ભાઈ ભવિષ્યમાં જે તે સ્ત્રી સાથે કે પુરુષ સાથે બે વર્ષ ગાળવા મળવાના જ છે. અને બાળકો? બાળકો આખા સમાજના ગણાતા. બાળકોને ઉછેરવાની જવાબદારી આખા સમાજની. ખરો સામ્યવાદ કે સમાજવાદ મને અહીં દેખાણો.

લાંબા લગ્નજીવનની શરૂઆત ખેતીની શરૂઆત સાથે થઈ. લોકો જમીન માલિક બનવા લાગ્યા અને જમીનની માલિકી ભવિષ્યના ખોરાકની ગેરંટી બનવા લાગી. બધા ખેતર સરખાં હોય નહિ. કેટલાક ખેતરો વધુ ફળદ્રુપ હોય અને મોટા પણ હોઈ શકે તો અમુક ખેતરો નાના અને ઓછા ફળદ્રુપ પણ હોઈ શકે. માબાપ એમની દીકરીઓને સારા ખેતરો  સારી મિલકત હોય ત્યાં મોકલવા હરીફાઈ કરે તે સ્વાભાવિક છે. એના માટે ચૂકવવી પડતી કિંમત દીકરી લગ્ન કરીને સાથે લઈ જાય વિવિધ સ્વરૂપે, એમાં રોકડ હોય, દરદાગીના હોય અને વસ્તુઓ પણ હોય એનું રૂપાળું નામ એટલે દહેજ અને કરિયાવર. સમૃદ્ધ માબાપ સમૃદ્ધ કરિયાવર આપી સામે સમૃદ્ધ કુટુંબ સાથે ભાગ્યેજ તોડી શકાય તેવો સંબંધ બાંધી લેતા. સ્યૂટકેસ ભરીને સોનું લાવી હોય તે ગમેતેવી હોય તેની સાથે મરણપર્યાંત રહેવું જ પડે ને? અથવા ઢગલો પૈસા ખરચી વહુ લાવ્યા હોય તેને પણ કઈ રીતે છોડી શકો? બીજા ઢગલો રૂપિયા લાવવા ક્યાંથી? લગ્નવિચ્છેદ સ્ત્રી અને એના બાળકોને ઘર વગરના અને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દેતા હોય છે. માટે ખેતી પ્રધાન દેશોમાં ડિવોર્સનું પ્રમાણ ઝીરો હોય તેમાં કોઈ નવી વાત નથી. ખાસ તો સ્ત્રી જ્યારે અંગત રીતે કમાતી જ નાં હોય ત્યાં ડિવોર્સ લેવાનું વિચારી જ ના શકે. માબાપ પણ શિખામણ આપતા કે મરી જાય તો પણ ઘરનો ઉંબરો ઓળંગતી નહિ. કારણ ઘરનો ઉંબરો ઓળંગ્યા પછીની હાલત મૃત્યુથી પણ બદતર બનવાની છે. લાંબું લગ્નજીવન એટલે સુખી લગ્નજીવન સમજી લેવું નહિ. આવા લાંબા લગ્નજીવન સમાજે બાંધી આપેલી પ્રતિબદ્ધ જેલ સિવાય બીજું કશું હોતું નથી.

હન્ટર-ગેધરર સમાજોમાં વારસામાં આપવા માટે કોઈ માલમિલકત હોતી નથી ત્યાં લગ્ન બહુ સહેલાઈથી વિલીન થઈ જતા હોય છે. લગ્ન સાથે જોડાણ એક બાળક મોટું કરવા પૂરતું હોય છે. આધુનિક લગ્નો પણ લગભગ આશરે સાતેક વર્ષમાં ડિવોર્સમાં પરીણમતા જોવા મળે છે કે બાળક લગભગ મોટું થઈ ગયું છે. પક્ષીઓમાં બ્રિડીંગ સિઝન પૂરતું બોન્ડીંગ જોવા મળતું હોય છે. તેમ ઘણા બધા બાળકો ધરાવતા ફૅમિલીમાં અવતરતું દરેક નવું બાળક બ્રિડીંગ સિઝન બની કપલને હજુ વધુ સાથે રહેવા પ્રેરતું હોય તેમ બને. અને દરેક બાળકને મોટું કરવાની જવાબદારી પણ વધુ વર્ષો સાથે રહેવાની જરૂરિયાત ઊભી કરી જતી હોય છે. એટલે નાના બાળકો ધરાવતા માબાપ કરતા પુખ્ત બાળકો ધરાવતા માબાપ એકબીજા પ્રત્યે વધુ ફરિયાદ કરતા અને દુખી જોવા મળતા હોય તેવું પણ બનતું હોય છે. બાળક વગરના કપલ છૂટાં પડી જવાની શક્યતા વધુ હોય છે. જ્યારે ચારપાંચ બાળક ધરાવતા કપલ ભાગ્યેજ છૂટાં પડે. બાળકો પ્રત્યેની જવાબદારી કપલ વચ્ચે સ્ટીલ જેવું બોન્ડીંગ કરી શકે છે. પુરુષપ્રધાન સમાજમાં છોકરી કરતા છોકરો જન્મે તો વધુ સારું ગણાતું હોય છે. વધુ પડતી છોકરીઓ જન્મે તો લગ્નજીવન ભંગાણને આરે આવી જાય તેમ પણ બને.

જ્યાં બાળકો પેદા કરવા પ્રત્યે છોછ કે મનાઈ નથી કે નવા બાળકો પેદા કરે રાખવા સહજ છે ત્યાં લગ્નો સલામત છે. આધુનિક જમાનામાં આધુનિક કપલ ઓશિયાળા મલ્ટીપલ યંગ ચિલ્ડ્રન નામના ગુંદર વગર જીવતા હોય છે. આમ  low-fertility અને કમાતી સ્ત્રી લાંબા સહજીવન માટે ખતરો ઊભો થઈ જાય તેમાં નવાઈ નહિ.

ટૂંકમાં, lifelong marriage is assured for women who marry a subsistence farmer, fill the house with male children, and stay out of the paid work force.

કંઠી v/s ટાઈ

untitled-=-કંઠી v/s ટાઈ

આપણે કોઈ સંપ્રદાયમાં જોડાઈએ એટલે તેના વડા આપણને કંઠી પહેરાવતા હોય છે. કંઠી તુલસીના મણકાની માળા હોય છે. કંઠીની જગ્યાએ બીજું કશું પણ સિમ્બૉલિક હોઈ શકે. વૈષ્ણવ સંપ્રદાય અપનાવો એટલે એકદમ ઝીણા તુલસીના મણકાની માળા ગાળામાં પહેરી રાખવાની હોય છે. દરેક સંપ્રદાયના આવા સિમ્બૉલિક ચિન્હો અલગ અલગ હોય શકે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કપાળમાં લાલ રંગનો ચીપિયો વચમાં પીળું બિંદુ હોય છે. જોઇને સમજી જવાય કે ભાઈલો સ્વામિનારાયણ સંપ્રદાયનો ભગત છે. સામે મળે એટલે સિમ્બૉલિક જય સ્વામિનારાયણ બોલે અથવા જયશ્રી કૃષ્ણ કે જય શ્રીનાથજી બોલે. જૈન હોય તો જય જિનેન્દ્ર બોલે. મને યાદ છે વિજાપુરમાં વૈષ્ણવ સંપ્રદાયના ચેલા બનાવે ત્યારે ગરમ ગરમ લોખંડની એક વિશિષ્ટ મુદ્રા ખભા ઉપર ચાંપી દેતા. થોડા દિવસ પાકે, ફોલ્લા થાય પણ પેલી મુદ્રા કાયમ માટે છપાઈ જાય. કે ભાઈ તમે અમારા વાડામાં ઘેટું બની પુરાઈ ગયા. હવે તમારે કશું વિચારવાનું નહિ, અમે કહીએ તેમ કરવાનું. તમારી આ લોક અને પરલોકની જવાબદારી હવે અમારી. સારું થાય તો ભરવાડ ડચકારો બોલાવે કે મારા પુણ્યપ્રતાપે જીવો છો અને કશું ગરબડ થાય તો કરમ ભોગવવા પડે એવો તકિયાકલામ ઇક્સક્યુઝ  સાંભળી લેવાની તૈયારી રાખવાની.

ઓશો કહેતા કે કંઠી પહેરનાર અને ટાઈ પહેરનારમાં કોઈ તાત્વિક ભેદ છે નહિ. ઓશો હોશિયાર તર્કશાસ્ત્રી હતા. પણ યુરોપિયન ટાઈ કેમ પહેરતા હશે? ટાઈ કોઈ ધાર્મિક સંપ્રદાયનું પ્રતીક નથી. ટાઈ પહેરવાનું કારણ આબોહવાને લાગતું છે. યુરોપમાં ઠંડી ખૂબ પડે છે. ઉત્તર અમેરિકામાં પણ પુષ્કળ ઠંડી પડે છે. ભારતમાં હાલ ગરમી હશે અહીં ઉષ્ણતામાન અત્યારથી ૯-૧૦ ડિગ્રી થવા માંડ્યું છે. જાન્યુઆરી-ડિસેમ્બરમાં તો દિવસે શૂન્ય અને રાત્રે માઈનસમાં ઊતરી જાય. ઘરમાંથી સામે બારણે પાર્ક કરેલી ગાડીમાં બેસવા જવું હોય તો પણ જૅકેટ, ગરમ કોટ વગેરે પહેર્યા વગર જવાય નહિ. કાર પણ પાંચદશ મિનિટ પહેલા ચાલુ કરી ગરમ કરવી પડે. ઠંડી જ્યાં જગ્યા મળે ત્યાંથી ઘૂસી જાય. અમે શિયાળો શરુ થતા બારીઓ પેટીપૅક હોય છતાં એની નાં દેખાતી તિરાડમાંથી ઠંડી ઘરમાં ઘૂસી નાં જાય માટે ટેપ લગાવતા હોઈએ છીએ. નહિતો ઘરનું ઉષ્ણતામાન જળવાય નહિ અને સેન્ટ્રલ હીટર આખો દિવસ ચાલુ જ રહે તો યુટીલીટી બીલ વધારે આવે. અમારા જ્યોતીન્દ્રકાકા તો કમરથી નીચેના ભાગમાં જ પાંચ કપડા પહેરે છે, પેન્ટ એ શ્રેણીમાં સૌથી ઉપર હોય. નીચે આટલાં બધાં પહેરતા હોય તો ઉપર કેટલા પહેરતા હશે? શર્ટનાં કોલરમાંથી ઠંડી અંદર ઘૂસી નાં જાય માટે તેને ટાઈ પહેરી જડબેસલાક બંધ કરવાની જરૂરિયાત હોય છે. શર્ટ ઉપર સ્વેટર, એની ઉપર કોટ અને એની ઉપર લાંબો ગરમ કોટ પહેરવો પડતો હોય ત્યાં ટાઈ કઈ રીતે અંધશ્રદ્ધાનું પ્રતીક બને?

ભારતની ગરમીમાં પાશ્ચાત્ય પોશાક અર્થહીન છે. ખરા ઉનાળામાં ટાઈ અને સ્યૂટ પહેરવા આંધળું અનુકરણ છે પણ તેમાં કોઈ અંધશ્રદ્ધા મને દેખાતી નથી. પણ હવે ધોતિયા પહેરીને કોઈ ઑફિસમાં જતું નથી. દક્ષિણ ભારતમાં લુંગી શું કામ પહેરતા હશે? અતિશય ગરમી લુંગી પહેરવા પ્રેરતી હોય છે. યુરોપિયન પહેલા આવ્યા ત્યારે જુના વખતમાં બ્રિચીસ પહેરતા. બ્રિચીસ એવા પેન્ટ હતા જે નીચેથી એકદમ ટાઈટ અને કમરના ભાગમાં ખુલ્લા. કાઠિયાવાડમાં ચોયણા પહેરે છે તેવું પણ કપડું જાડું હોય. આજના પેન્ટ હવે આખી દુનિયામાં પ્રચલિત થઈ ગયા છે. પહેરવેશમાં પણ ઇવલૂશન થતું જ હોય છે. કંઠીની જેમ ટાઈ કોઈ સંપ્રદાયનું પ્રતીક છે નહિ.

untitledઓશો પોતે એમના સંન્યાસીઓને બહુ લાંબી માળા પહેરાવતા અને વચમાં પેન્ડલ હોય એમાં એમનો ફોટો રહેતો સાથે મરુન કલરના કપડા ફરજિયાત હતા. શરૂમાં તેમના ચેલાઓ ઓરેન્જ કલરના કપડા પહેરતા પછી કલર મરુન થઈ ગયો. પણ એક વાત હતી કે તેમના સંન્યાસીઓ સંસારમાં આરામથી રહી શકતા, ભગવા પેન્ટ શર્ટ અને લાંબી માળા લટકાવીને તમામ સાંસારિક જવાબદારીઓ નિભાવતા. સંસારમાં રહીને સંન્યાસ સ્વીકારવાનો એક નવો કૉન્સેપ્ટ એમણે આપેલો. ‘ભાગો મત જાગો’ એમનું મુખ્ય સૂત્ર હતું. પણ ઓશો લોકોની ભાવનાઓને રમાડવાની ગજબ આવડત ધરાવતા હતા. છેવટે તો એમણે એમના સંન્યાસીઓને માળા અને ભગવા ફગાવી દેવાનો આદેશ આપેલો પણ ચેલાઓ એમ છોડે કાઈ? આજે એમના અમુક ચેલાઓ પોતેજ ઓશો બની ચૂક્યા છે. ઓશોની નકલ કરવામાં કોઈ અક્કલ વાપરતા નથી. ઓશોની જેમ મોટા મોટા રોબ પહેરતા હોય છે. એ રોબની બાયો એટલી મોટી હોય કે એક બાયમાંથી કોઈ પાતળી છોકરીનો પંજાબી ડ્રેસ બની જાય.

પાશ્ચાત્ય સંસ્કૃતિને ગાળ દેવાની એક ભારતીય ફૅશન છે. કારણ એના સિવાય આપણી પાસે બીજું કશું બચ્યું નથી. બટનથી માંડી મહાકાય ટાઈટેનિક પશ્ચિમે બનાવ્યા છે. આપણે માયથોલોજી કહો કે સાયન્સ ફિક્શન કહો રામ પુષ્પક વિમાનમાં ઊડતા હતા એવું ગાયે રાખ્યું ને રાઇટ બ્રધર્સે પુષ્પક બનાવી નાખ્યું. આપણે અગ્ન્યાસ્ત્રનું સાયન્સ ફિક્શન ગાયે રાખ્યુંને પશ્ચિમે મિસાઇલ બનાવી નાખ્યા. આપણે બ્રહ્માસ્ત્રનું ફિક્શન ગાયે રાખ્યું ને અમેરિકાએ જાપાન પણ ઝીંકી દીધું. છેક સતયુગ અને દ્વાપર યુગથી વાતો કરે જ રાખતા હતા ત્યારે માંડ કળિયુગમાં કલામે અગ્ન્યાસ્ત્રમાં પગભર કર્યા, થેન્ક્સ ટુ ઇન્દિરા ગાંધી અને થેન્ક્સ ટુ ડૉ અબ્દુલ કલામ, થેન્ક્સ ટુ નામીઅનામી હજારો વૈજ્ઞાનિકો જેમણે ભારતને અગ્ન્યસ્ત્ર પ્રોજેક્ટમાં પગભર કરવા રાતદિવસ સંશોધન કરે રાખ્યું, એમાં મારા મોટાભાઈ ડૉ જે.આર. રાઓલ પણ આવી જાય.

પાશ્ચાત્ય સંસ્કૃતિને સતત ભાંડે રાખતા RSS જેવા સંઘનાં યુનિફૉર્મમાં જે ખાખી ચડ્ડી છે તે પણ પાશ્ચાત્ય સંસ્કૃતિની જ દેન છે, અને બટન વગર ચડ્ડી હોય ખરી? રામ-કૃષ્ણ ક્યાં ખાખી ચડ્ડી પહેરતા હતા? બજરંગ દળનાં તાલીબાની માનસિકતા ધરાવતા કાર્યકરો ધોતિયા પહેરી પેલી છોકરીઓના જિન્સપેન્ટ ખેંચવા નહોતા ગયા, પાશ્ચાત્ય પેન્ટ પહેરીને જ ગયેલા. સાડી સુદ્ધાં પાશ્ચાત્ય છે તે મુરખોને ખબર નથી, ચંદ્રગુપ્તની ગ્રીક રાણી હેલને સાડી શોધેલી તેવું કહેવાય છે.

બીજી એક મસ્ત હસવું આવે ફૅશન કૉમન થઈ ગઈ છે. જો કોઈ બુદ્ધિગમ્ય વાત કરે તો બુદ્ધિજીવી કહીને ગાળો દેવાની એક સરસ ફૅશન ભારતમાં ચાલે છે. જાણે મૂર્ખા હોવામાં કોઈ મેડલ મેળવવા જેવી બાબત હશે. જો તમે તર્ક કરો તો ગાળના અર્થમાં કહેશે બુદ્ધિજીવી છે. માણસ બુદ્ધિનો ઉપયોગ કરે તો સારું કે ખોટું? તર્ક કરવો સારો કે ખોટો? મુરખોને ખબર નથી કે ભારતના ષડ્દર્શન તર્ક આધારિત હતા. હવે ષડ્દર્શન એટલે શું તે આ મહાન આસ્તીકોને ખબર નહિ હોય. એક જ વૈદિક સંસ્કૃતિમાં છ છ અલગ ફિલોસોફી, બધી તર્કશાસ્ત્ર આધારિત. બધી વેદમાન્ય. છતાં વેદથી અલગ એવી ચાર્વાર્કની વિચારધારા પાછી અલગ.. સૌથી મોટા તર્કશાસ્ત્રી કોણ હતા?

બુદ્ધિનો ઉપયોગ કરનારને ગાળો દેનારા મૂરખો જાણી લો કે સૌથી મોટા તર્કશાસ્ત્રી હતા આદિ શંકરાચાર્ય… તે જમાનાના સૌથી મોટા તર્કશાસ્ત્રી untitled=-=મંડનમિશ્રને વાદવિવાદમાં શંકરે હરાવેલા. આજે પોતાના બૈરામાં બુદ્ધિ હોવા છતાં ચુપ બેસ તને સમજ નાં પડે તેવું કહેનારા ચમ્પુઓને ખબર નહિ હોય મંડનમિશ્રનાં વિદુષી શ્રીમતીને કન્વિન્સ કરવામાં શંકરાચાર્યને ફાંફાં પડી ગયેલા. આ વાદવિવાદ જગતની મહાન ડિબેટ હશે જેનો ટેક્નોલૉજીના તે સમયના કુદરતી અભાવે આજે આપણી પાસે કોઈ રેકૉર્ડ નથી. શંકરાચાર્ય ૩૨ વર્ષે તો પ્લૅનેટ અર્થ છોડી વિદાય થઈ ગયેલા. આ વાદવિવાદ સમયે કેટલી ઉંમર હશે તેમની? મંડનમિશ્રે શંકરાચાર્યને એવું નહોતું કહ્યું કે તને નાના છોકરાને શું સમજ પડે? કે તને વાંઢાને શું ગમ પડે? તે મારા જેટલી દિવાળીઓ નથી જોઈ કે તું કુંવારો છે એટલે ‘ગે’ જ હોઈશ તને શું ખબર હોય? કે વડીલો આગળ દલીલ કરાય નહિ કે વડીલ કહે એટલે માની જ લેવાનું.. કે તું પરણેલો નથી તે તને કામશાસ્ત્રની શું ખબર હોય? કે તને કુંવારાને પ્રેમ વિષે શું ખબર હોય? મંડનમિશ્રનાં શ્રીમતીએ કામશાસ્ત્ર વિષે સવાલો પૂછેલા તે બધાના ઉત્તર કુંવારા બ્રહ્મચારી શંકરે આપેલા જ. એવું પણ નહોતું કહ્યું કે તું મુલ્લા વિષે કેમ બોલતો નથી કે મુસ્લિમ ધર્મ વિષે બોલ તો તને સમજ પડી જાય, કે ત્યા તો ફાટી જાય છે કે માથા કપાઈ જાય. બુદ્ધિના સાગરો સવાલ પૂછે તે પહેલા જણાવી દઉં કે શંકરાચાર્ય ભારતમાં વિચારતા હતા ત્યારે કેરાલામાં પહેલી મસ્જિદ બંધાઈ ચૂકી હતી.

 નાં કોઈ ગાળાગાળી નાં કોઈ અંગત આક્ષેપો અને હાર્યા પછી એક નાના છોકરા આગળ હારવામાં ગૌરવ અનુભવી ગળે લગાવી મંડનમિશ્રએ શંકરાચાર્યને આશીર્વાદ આપેલા. ડીબેટનાં આ બે મહારથીઓના દેશમાં આજે ડિબેટ કલ્ચર જ નાશ પામી ગયું છે. આસ્થા, શ્રદ્ધા અને ભક્તિના નામે શાસ્ત્રાર્થની વિદ્યાને કાયમી વિદાય આપી દેવાઈ છે.

પોશાકમાં ઉત્ક્રાંતિ થયા જ કરતી હોય છે. આજે અંગ્રેજો પણ વિક્ટોરિયન યુગના કપડાં પહેરતા નથી.

जानामि अधर्मम न च मे निवृत्ति: ઍશોઆરામ……

 जानामि अधर्मम न च मे निवृत्ति:

“In biology nothing is more important than reproduction”, આપણા સર્વાઈવલનો આ છેલ્લો ઉપાય છે. સર્વાઈવલ માટે આખી જીંદગી લડવું પડતું હોય છે. સમૂહમાં રહેવું તે પણ સર્વાઈવલનો એક ઉપાય જ છે. સમૂહમાં રહેવાથી સર્વાઈવલની તકો વધી જાય. આપણા પૂર્વજો આપણા કરતા સર્વાઈવલ માટે ખૂબ વધુ જહેમત ઉઠાવતા હતા. પેદા કરેલા બાળકો પણ ખૂબ ઓછા બચતાં. આપણા પૂર્વજોમાં પ્રાણીઓ પણ ગણી જ લેવાના. આપણા જિન્સ જીવતા રાખવા તે જેટલા જુદી જુદી જગ્યાએ ફેલાય તેમ કરતા રહેવાની યોજનાઓ બનાવતા રહેવું પણ આપણા જિન્સમાં જ છુપાયેલું હોય છે. વધારામાં આપણી પાસે વિચારશીલ બ્રેન છે. પ્રાણીઓ સીધાસાદા ઉપાયો અજમાવતા હોય. પણ આપણે મોટું બ્રેન ધરાવતા હોશિયાર પ્રાણી હોવાથી જાત જાતની યુક્તિઓ ઘડી કાઢતા હોઈ છીએ. સર્વાઈવલ માટે આખી જીંદગી લડતા રહેવાનું સાથે સાથે અંતિમ ઉપાય તરીકે આપણા જિન્સને જીવતા રાખવા નવી પેઢીમાં આરોપી દેવા મતલબ સંતાન પેદા કરી તેને મોટા કરી નાખવા તે સર્વાઈવલનો અંતિમ ઉપાય. એટલે તો માંબાપ બનીએ તેના કરતા પણ દાદા-દાદી બનીએ ત્યારે વધુ ખુશી થતી હોય છે. કારણ આતો એક વધારાની પેઢીમાં જિન્સ આરોપાઈને સર્વાઈવ થઈ ગયા છે તેની ગેરંટી મળી ગઈ. એટલે માંબાપ તરીકે તો સંતાન પ્રત્યે કઠોર બની શકાતું હોય છે પણ દાદા-દાદી તરીકે કઠોર બનવું અશક્ય છે. મારી વાત ખોટી હોય તો કહો. imagesCAG489IA=-

હવે પુરુષને એના જિન્સ જીવતા રાખવા પાર્ટનર તરીકે સ્ત્રી જોઈએ અને સ્ત્રીને પુરુષ. પણ સ્ત્રી પાસે લિમિટેડ એગ્સ હોવાથી ક્વૉલિટી તરફ વધુ ધ્યાન આપશે પણ પુરુષ ક્વૉલિટી કરતા ક્વૉન્ટિટી તરફ વધુ ધ્યાન આપશે. એટલે મોટું બ્રેન ધરાવતા હોશિયાર પ્રાણી હોવાથી અસંદિગ્ધ યુક્તિઓ શોધી કાઢતા હોઈએ છીએ એમાં જ ઍશોઆરામ અને નારાયણ કુસાઈ જેવા કુ-મહાત્મા ઉત્પન્ન થતા હોય છે જેને આપણે ઓળખી શકતા નથી. હાઈ સ્ટેટ્સ વગર સ્ત્રી માટે જિન્સ ઉછેરવા અઘરા હોવાથી અને પુરુષ માટે હાઈ સ્ટેટ્સ વગર સ્ત્રી મળવી મુશ્કેલ હોવાથી સૌ પ્રથમ હાઈ સ્ટેટ્સ અર્જિત કરવું સૌથી વધુ મહત્વનું હોય છે. એકવાર હાઈ સ્ટેટ્સ મળ્યા પછી ભલભલાં મહાપુરુષો, નેતાઓ, ધાર્મિક ગુરુઓ સ્ત્રીઓમાં કેમ ફસાઈ જતા હોય છે? ધર્મ પણ રાજકારણની જેમ હાઈ સ્ટેટ્સ મેળવાનું એક સાધનમાત્ર બની જતું હોય છે. કારણ એક તો પહેલેથી ગરીબ હોય, બીજી કોઈ ક્વૉલિટી હોય નહિ પૈસા કમાઈને હાઈ સ્ટેટ્સ મેળવવાની, કે એવી કોઈ આવડત હોય નહિ ત્યારે રામચરિતમાનસ કે મંજીરા-કરતાલ બહુ મદદરૂપ થઈ જતા હોય છે. જો કે તે પણ એક આવડત જ કહેવાય.

બાપનું જોઇને છોકરા શીખે તેમ બિલકુલ સરખી જ સ્ટ્રેટેજી ઍશોઆરામની એનો દીકરો નારાયણ કુસાઈ અપનાવે છે. બાપની જેમ જ કથા કરવી, સ્ટેજ ઉપર નાચવું. વધારામાં છોકરીઓના લગ્ન કરાવતી વખતે હાજરી આપી વરરાજાને બદલે પોતે સેંથામાં સિંદૂર પૂરે છે અને મંગળસૂત્ર પણ વરરાજાને બદલે પોતે પહેરાવે છે. છે ને હસવું આવે તેવું? વધુ તો મને આવું બધું કરવા દેનારાઓની માનસિક અંધતા ઉપર દયા અને હસવું આવે છે. પણ આ અંધોને વગર મહેનતે મોક્ષ જોઇતો હોય છે, વગર મહેનતે સર્વાઈવ થવું હોય છે, સર્વાઈવ માટે જે પડકારો આવે તેમાંથી રાહત જોઇતી હોય છે. જેની આ લફન્ગાઓ ગેરંટી આપતા હોય છે. પછી એકવાર એમના ચક્કરમાં ફસાયા પછી ડરાવતા હોય છે અને ડરના માર્યા કમજોર કાયર લોકો જે કહે તે કરવા તૈયાર થઈ જતા હોય છે. મારું ચાલે તો ઍશોઆરામ, નારાયણ કુસાઈ સાથે એમની સામે આજે ફરિયાદ કરનારા બધાને સાથે જ જેલમાં પૂરી દઉં. મોંઘીબાનો સસ્તો દીકરો ભારતને બહુ મોંઘો પડ્યો.

એક ઍશોઆરામ સમાજમાં ઊભો થાય છે તેના માટે આપણે પોતે પણ એટલા જ જવાબદાર છીએ, આપણો લોભ, લાલસા અને ડર પણ એટલો જ જવાબદાર છે. ઍશોઆરામ કોઈ સંત-બંત છે નહી, એ હાઈ ટેસ્ટાસ્ટેરોન ધરવાતો ઍલ્ફા ચિમ્પૅન્ઝી સમજો, જે એના સમૂહ ઉપર ધાક જમાવવા આખો દિવસ બધાને ઝૂડતો હોય, બૂમો પાડતો હોય, ગૃપની માદાઓ ઉપર જોરતલબી કરતો હોય. ઍશોઆરામ એના હિંસક વલણ માટે જાણીતો છે. હાઈ ટેસ્ટાસ્ટેરોન આક્રમક સ્વભાવ આપતો હોય છે. એને હાઈ રાખવા બાવો જાતજાતના નુસખા પણ અજમાવતો હશે, વાજીકરણ હર્બલ દવાઓ ખાતો હશે. આને મિલ્ખાસિંઘ સાથે દોડાવ્યો હોત તો નક્કી ગોલ્ડ મેડલ લઈ આવતો.

મેં વડોદરામાં એક પુરુષ પણ પોતાને માડી મતલબ માતાજી તરીકે ઓળખાવતા ભાઈને જોયા છે. તેઓના ભક્ત જો એમના દરબારમાં નિયમિત હાજરી પુરાવે નહિ તો ધમકી આપતા કે માડીના દરબારમાં હાજરી પુરાવતા નથી પછી કહેતા નહિ કે માડીએ તકલીફ આવી ત્યારે સામું જોયું નહિ? તેઓ થોડી પ્રેક્ટીશ હોવાથી ગરમ તેલમાં પુરીઓ તળવા નાખતા અને હાથથી જ ઉપાડી લેતા, ચીપિયો વાપરતા નહિ ત્યારે બધાને ચમત્કાર લાગતો અને મને મારા ખેડૂત શંકર ડાભલ અને કચરો યાદ આવી જતો કે તેઓ સળગતા અંગારા ઉપાડીને ચલમ ઉપર મૂકી ફૂંકવા માંડતા. હું કહેતો પણ ખરો કે અલ્યા ડોહા આ સળગતો અંગારો ઉપાડો તો દાઝતા નથી? ત્યારે તેઓ હસતા કે બાપુ આ હાથ તો જુઓ પાવડા પકડી પકડી સખત થઈ ગયા છે અંગારો શું દઝાડે?

ચાલો માની લઈએ કે તમે ભગવાનમાં માનો છો તે બરોબર છે. તો ભગવાન એકલા મારો કે તમારો હોય ખરો? પહેલું તો ભગવાન કોઈ વ્યક્તિ હોય ખરો? અને હોય તો બીજા પ્રાણીઓનું શું? એમનો ભગવાન કેવો હશે? ચાલો છે અને હું એને ભજું તો મને હાર્ટઅટૅક આવે અને બચાવે તો પેલાં લાખો લોકો એને માનતા હોય છે, રોજ પ્રાર્થના કરતા જ હોય છે અને હાર્ટઅટૅકમાં કે બીજા કોઈપણ કારણસર મરી જતા હોય છે તેમની કેમ ફેવર કરી નહિ? જેને આપણે પ્રગટ બ્રહ્મ કહીએ છીએ તેઓ પણ હાર્ટઍટૅકમાં સપડાય ત્યારે શું માનવું? કર્મના નિયમના ઇક્સક્યુઝ મારે નથી જોઇતા. એ તમામ બાબતોમાં બહુ સરસ ઇક્સક્યુઝ બને છે. આ એક ઇક્સક્યુઝ બતાવીને જ બાવાઓ તેમની જવાબદારીમાંથી છટકી જતા હોય છે. ભગવાન મારી ફેવર કરે અને તમારી નાં કરે તો પછી ભગવાન ભેદભાવ કરે છે તે સાબિત થઈ જાય. ભગવાન મારા તમારા વચ્ચે ભેદ કરે ખરો? અને કરે તો ભગવાન શાને કહેવાય? પહેલું તો મારો અને એક મુસલમાનનો અને એક ક્રિશ્ચનનો ભગવાન જુદો જુદો કેમ હોય? બધા અવતાર મારે ત્યાં જ થાય અને ચીનમાં કેમ નાં થાય?

ભગવાન એક હોય કે હજારો લાખો હોય? દસ દસ અવતારો જ્યાં થયા હોય તેવી પુણ્યભુમી ફક્ત એક જ ભગવાનમાં માનનારી પ્રજાઓના હાથ નીચે આશરે હજાર વર્ષ ગુલામ કેમ રહી? શું આખા ભારતે એટલા બધા પાપ ગત જન્મોમાં કર્યા હશે? એક પેઢી ૬૦ વર્ષની ઍવરિજ ગણીએ અને ઇગ્ઝૅક્ટ ૬૦ વર્ષે મરવા સમયે છોકરા પેદા થાય ત્યારે ૧૫ પેઢી થાય. તો ૧૫ પેઢી ગુલામ રહી કે નહિ? પંદર પેઢીઓ સુધી કયાં પાપના પ્રતાપે ગુલામી વેઠીને અચાનક આઝાદ થઈ ગયા?

ચાલો હવે કર્મના નિયમ તરફ આવીએ. કર્મનો નિયમ સચોટ હોય અને કર્મના ફળ ભોગવવાના જ હોય તો પછી ભગવાનની હોય તો પણ શું જરૂર છે? ભગવાન હોય તો પણ કર્મના ફળમાંથી બચાવવાનો છે જ નહિ તો હોય કે નાં હોય શું ફરક પડે છે? હોય તો એને એનું કામ કરવા દો. શૂળીનો ઘા સોયથી સરે તેવું કહેનારા કર્મના નિયમને ખોટો પાડે છે. શૂળીનો ઘા સોયથી સરે તો કર્મનો નિયમ જ ખોટો ઠરે. કર્મના નિયમને માનો અથવા ભગવાનને માનો.

આપણો પ્રૉબ્લેમ એ છે કે આપણે ભગવાન અને કર્મના નિયમ બંનેને સાથે માનીએ છીએ. એક બાજુ કહીએ છીએ કે ભગવાન બચાવે અને એકબાજુ કહીએ છીએ કરેલા કર્મ ભોગવવા પડે. મોસ્ટ કન્ફ્યૂઝ્ડ પ્રજા છીએ આપણે. બંને સાથે પણ માની શકાય પણ એમાં ભગવાનને એનું કામ કરવા દો, ના એ કોઈની ફેવર કરે નાં એ કોઈનું બગાડે, તમારી જવાબદારી તમે ભોગવો, નાં એ કોઈનો જુદો હોય. નાં એ દયાળુ હોય નાં એ ક્રૂર હોય. હોય તો બધે જ હોય, કણ કણમાં હોય અથવા કશે નાં હોય. હવે બધે કણ કણમાં હોય તો પણ કામનો નથી અને બધે નાં હોય તો કોઈ સવાલ જ નથી. પણ આપણે બધા લાડવા એક સાથે ખાવા છે. બસ અહીં જ ધૂતારાઓની લીલા શરુ થાય છે. આપણા ડર આપણા લોભ, લાલચ અને કન્ફ્યૂઝન નો મહત્તમ ઉપયોગ કરવાનું જેને આવડી જાય તે મોટો મહાત્મા મોટો ગુરુ બની જાય છે.

જેવો ગુરુ ધન, પદ, સત્તા મેળવી હાઈ સ્ટેટ્સ પ્રાપ્ત કરી લે છે કે તરત ઇવલૂશનરી ફોર્સને તાબે થઈ મહત્તમ જિન્સ ફેલાવવા અચેતનરૂપે સ્ત્રીઓ પાછળ લાગી જતો હોય છે. સ્ત્રીઓ પાછળ લાગી જવાની લાંબી યોજના રૂપે હાઈ સ્ટેટ્સ યેનકેન પ્રકારે પ્રાપ્ત કરાતું હોય છે તેમ કહેવું વધુ યોગ્ય છે. નેતાઓ પણ અન્કૉન્શયસલી આજ કરતા હોય છે.

 કર્મના નિયમમાંથી ભગવાન પણ બચાવી શકવાનો નાં હોય તો ગુરુ ક્યાંથી બચાવશે? તો પછી ગુરુને તાબે થવાની ક્યાં જરૂર છે? ગુરુ પોતે જ હવે જેલમાં ગયા છે તેમને કોણ બચાવશે? તમે કોઈ વ્યક્તિને ભગવાન માની લો અને જ્યારે તે આપણા માટે કશું કરી નાં શકે ત્યારે બહુ મોટો આઘાત લાગતો હોય છે. તે વ્યક્તિ પોતે જ મજબૂર હોય છે. એના પોતાના પ્રૉબ્લેમ્સ અનેક હોય છે, તે પોતે વળી બીજા ભગવાનને કગરતો હોય છે કે મને બચાવ. એને પણ ચૂંટણી લડવાની હોય છે. એને પણ દિલ્હી જવું હોય છે, એમાય પાછાં એના ગુરુ નડતા હોય છે. કારણ ગુરુને પણ દિલ્હીની ગાદી કબજે કરવાનો મોહ હોય છે.

ફક્ત સર્વાઇવલની અને શબ્દો વગરની કેમિકલ્સની ભાષા જાણતું નાનું મગજ કાયમ હાવી થઈ જતું હોય છે. મોટું મગજ જે વિચારશીલ છે તે બધું જાણતું હોય છે પણ છેવટે કરોડો વર્ષથી તમારા અસ્તિત્વ માટે કારણભૂત છે, જે ગમે તેવી વિષમ સ્થિતિઓ હોય તમને કરોડો વર્ષોથી બચાવતું આવ્યું છે તે મૅમલ બ્રેન હાવી થઈ જતું હોય છે. એટલે દુર્યોધન કહેતો હતો કે ધર્મ શું તે હું જાણું જ છું પણ તેમાં પ્રવૃત્ત થઈ શકતો નથી, અને અધર્મ શું તે હું જાણું છું પણ એમાંથી નિવૃત્ત થઈ શકતો નથી. जानामि धर्मम न च मे प्रवृत्ति:, जानामि अधर्मम न च मे निवृत्ति: ખરેખર તો મૅમલ બ્રેન કોઈ અધર્મ આચરતું નથી તેનો તો એક જ ધર્મ છે યેનકેન પ્રકારે તમને બચાવવાનો તે પણ સદીઓ સુધી..

દોઢડાહ્યાઓએ કહેલો ધર્મ જો મૅમલ બ્રેને માન્યો હોત તો આજે આપણું અસ્તિત્વ જ ના હોત..

                                                                                                                           ભૂપેન્દ્રસિંહ રાઓલ

                                                                                                                            ૧૦ સપ્ટેમ્બર, ૨૦૧૩

                                                                                                                             એડિસન, ન્યુ જર્સી.

મિત્રતાનો ફેસબુક ફંડા (વિદ્વાન મિત્રોના અભિપ્રાય અને અનુભવો સાથે)

 images (7)

મિત્રતા-ફેસબુક ફંડા

જંગલમાં એકલો રહેતો હોય કે જેલમાં કાળકોટડીમાં એકલો પૂરેલો હોય, માનવી પશુ-પ્રાણી કે કોઈ પણ જીવજંતુ ને મિત્ર બનાવી લેતો હોય છે. મિત્રતાનો આધાર ત્રણ બાબતો ઉપર હોય છે. કે ત્રણ પ્રકારની મિત્રતા હોય છે. એક મિત્રતા ઉપયોગિતા પર આધાર રાખતી હોય છે. બીજી મિત્રતા આનંદપ્રમોદ ઉપર આધાર રાખતી હોય છે અને ત્રીજી મિત્રતા નૈતિકતા કે ચારિત્ર્ય અને ગુણો કે આચારવિચાર ઉપર આધાર રાખતી હોય છે.

સ્કૂલમાં વિદ્યાર્થીઓ એકબીજાને નોટ્સ, પુસ્તકો અને સાધનો વગેરેની આપલે કરતા હોય છે. પડોશીઓ એકબીજાની વસ્તુઓ શેઅર કરતા હોય છે. અમારા પાડોશી શાંતાબેન બે મરચાં, એકાદ લીંબુ કે એકાદ ડુંગળી લેવા કાયમ આવી જતા. આવી મિત્રતાનો આધાર ઉપયોગિતા ઉપર ટકતો હોય છે. ઉપયોગિતા ખતમ મૈત્રી ખતમ.

ઘણા મિત્રો ખૂબ હસમુખા હોય છે. એમની કંપનીમાં આનંદ આવી જાય. જોડે ફિલમ જોવા જઈએ. કોઈ પ્રોગ્રામ માણવા જઈએ. ઘણા ખર્ચાળ પણ હોય મિત્રો માટે પૈસા ખર્ચતા વાર નાં કરે. આમ એક મૈત્રીનો આધાર આનંદ-પ્રમોદ, મોજશોખ હોય છે. આનંદ ખતમ મૈત્રી ખતમ.

સદાચાર, સદભાવ, સમાન વિચારસરણી, ગુણ આધારિત નૈતિક મિત્રતા કાયમ ટકી જતી હોય છે. આવી મિત્રતામાં આનંદપ્રમોદ અને ઉપયોગિતા સમાયેલી હોય તે વાત જુદી છે. આવા મિત્રતામાં એકબીજાની સારપ વધુ જોવાતી હોય છે. એમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ હોય છે.

એક ઇન્ટરનેશનલ અભ્યાસ (McAndrew & Jeong, 2012) મુજબ ફેસબુકમાં સૌથી વધુ એક્ટીવ યુવાનો, સ્ત્રીઓ અને સિંગલ હોય છે. તેઓ ઇમ્પ્રેશન વધારવા માટે ફોટા, સ્ટેટ્સ અને પોસ્ટ અપડેટ કરવા બીજા લોકો કરતા વધુ સમય ફેસબુક પર ગાળતા હોય છે. ઓલ્ડર યુઝર્સ ફેમિલી રીલેટેડ ફેસબુક એક્ટીવીટીમાં વધુ વ્યસ્ત હોય છે. ટૂંકમાં યુવાન સ્ત્રીઓ ઇચ્છતી હોય કે લોકો તેમને વધુ જુવે અને ઓલ્ડર યુઝર્સ ફેમિલી સાથે સંપર્કમાં રહેવા ઇચ્છતા હોય છે.

રોજીંદી જીવન ઘટમાળમાં આપણે નાના મોટા અસ્વીકાર અવહેલના ભોગવતા જ હોઈએ છીએ. સાથે કામ કરતા સાથીઓ આપણને મૂકીને લંચ લેવા જતા રહેતા હોય, સગાસંબંધી આપણો જન્મદિવસ ભૂલી જતા હોય, પડોશીઓ એમના ત્યાં રાખેલી પાર્ટીમાં આમંત્રણ આપતા નથી, મિત્રો આપણને મૂકીને ફિલ્મ જોવા જતા રહેતા હોય, પતિ કે પત્ની એકબીજાની કામેચ્છા પૂરી કરવાની વિનંતીનો કઠોર અસ્વીકાર કરતા હોય, કોઈને કોઈ દ્વારા આપણી લાગણીઓ ઘવાયા વગર ભાગ્યેજ કોઈ દિવસ કે અઠવાડિયું પસાર થાય. પણ હવે Facebook, Twitter, Linkedin, Instagram જેવી અનેક સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ આપણને લાગણીઓમાં તરબતર કરવા આવી પહોચ્યાં છે, પણ જેટલી સ્વીકારની સંભાવનાઓ વધે તેમ અસ્વીકારની સંભાવનાઓ પણ ખૂબ વધી જતી હોય છે. એટલે કોઈ મિત્ર લાઈક આપવાનું ભૂલી જાય કે રિટ્વીટ કરવાનું ભૂલી જાય ત્યારે પેલાં રિઅલ લાઇફ રિજેક્શન જેવું અહીં પણ અનુભવાય છે. આપણા ટહુકા નો કોઈ પ્રતિસાદ આપવામાંથી છટકી જાય ત્યારે ખૂબ લાગી આવતું હોય છે. લાઈક કોમેન્ટ્સનાં વાટકીવ્યવહાર ના સચવાય તે એક જાતનો સામાજિક બહિષ્કાર જેવું લાગતું હોય છે.

સમજો જ્યારે આપણે કાયમ પાડોશીને નાની મોટી પાર્ટીમાં યાદ રાખીને બોલાવતા હોઈએ પણ તેના ઘેર પ્રસંગ આવે ત્યારે આપણને ભૂલી જાય ત્યારે જે દુઃખ થાય કે લાગણી ઘવાય છે તેવી જ સરખી અનુભૂતિ અહીં ફેસબુકમાં તમને કોઈ મિત્ર દ્વારા લાઈક કે પ્રતિભાવ નાં મળે ત્યારે થતી હોય છે. શારીરિક પેએન વખતે બ્રેનમાં જે વિભાગો વધુ હલચલ બતાવે છે તે જ વિભાગો સામાજિક અસ્વીકાર વખતે પણ વધુ હલચલ બતાવતા હોય છે. એટલે તમને પગમાં ઠેસ વાગે અને અંગૂઠામાં દુખાવો થાય ત્યારે, અને કોઈ સગા એમના ઘેર સારા પ્રસંગે આપણને યાદ નાં કરે અને આપણી લાગણી ઘવાય ત્યારે, અને આપણો મિત્ર આપણી પોસ્ટને લાઈક નાં આપે કે પ્રતિભાવ નાં આપે ત્યારે બ્રેનમાં સેઇમ વિભાગ એક્ટીવ થતા હોય છે. જો આટલું સમજાઈ જાય તો હવે કોઈ લાઈક નાં આપે તો દુઃખ ઓછું થશે.

ઘણીવાર આપણે વધુ પડતું વિચારી લેતા હોઈએ છીએ. માનો કે આપણે કોઈને Linkedin માં જોડાવા આપણી સાથે આમંત્રણ આપીએ પણ તે સ્વીકારે નહિ તો ખોટું લાગતું હોય છે પણ એવું બને કે પેલો ભાઈ Linkedin કદી ખોલતો જ નાં હોય કે વાપરતો જ નાં હોય. હું પોતે ટ્વીટર પર જતો નથી. મારા લેખોની લિંક ઓટ્મેટિક ટ્વીટર પર આવી જતી હોય છે. હું ગુગલ પ્લસ પણ ખાસ વાપરતો નથી. એટલે મને તે સાઈટ્સ પર કોઈ શું કરે મને ખાસ ખબર હોતી નથી. ફેસબુક ઉપર પણ હું આખો દિવસ હોઉં નહિ. બીજું અમારો ટાઈમ ડિફરન્સ પણ ધ્યાનમાં રાખવો પડે. અમારો સુવાનો ટાઈમ થાય ત્યારે તમે કોઈ પોસ્ટ મૂકી હોય જેની અમને જાણ થાય નહિ. હજારો પોસ્ટ અને સ્ટેટ્સ મૂકાતાં હોય ત્યાં કોઈ મિત્રનું ક્યાંય પહોચી ગયું હોય દેખાય પણ નહિ. એટલે જો આપણને સોશિઅલ મીડિયા પર ૧૦૦૦ વખત અસ્વીકાર(રિજેક્શન) અનુભવાય ત્યારે ૯૯૯ વખત કોઈનો અંગત ઇરાદો એવું કરવાનો હોતો નથી. ઘણી બધી જાતજાતની પોસ્ટ મૂકાતી હોય, ફોટા હજારો જાતના મુકાતા હોય છે. મને પોતાને ફોટા મૂકવામાં રસ નથી પડતો. અને એવા મૂકેલા ફોટા પ્રત્યે મારું ખાસ ધ્યાન પણ નાં હોય. દરેકના રસ જુદાજુદા હોય. એટલે જેટલું સોશિઅલ મીડિયા પર સમૃદ્ધ થવાની તકો હોય તેટલી જ તકો રિજેકશનની પણ હોય છે.

ફેસબુક પર લાખો પેજ છે. હેલ્થને લગતા હજારો પેજ હશે. હજારો લાખો ગ્રુપ્સ ચાલતા હશે. જેને જે ભાવે તેમાં જોડાઈ જાય. પોતાના ધંધાની જાહેરાતના પેજ હોય છે તેમ નિઃસ્વાર્થ સેવાભાવી સંસ્થાઓના પણ પેજ છે. આતો જાહેર અન્નકૂટ છે જેને જે ભાવે તે ખાઈ લે.

ફેસબુક વાપરતા બાળકોનાં માતાપિતા ચિંતા કરતા હશે કે એનાથી બાળકોની બુદ્ધિમત્તા પર અસર પડશે. પણ એક અભ્યાસ એનાથી ઊલટું કહે છે. જો કે વધુ પડતો ઉપયોગ સમય બગાડે તે હકીકત છે. પણ અભ્યાસ જતાવે છે કે જે ૧૫-૧૮ વર્ષના બાળકો એક વર્ષ કરતા વધુ સમયથી ફેસબુક વાપરતા હોય તેઓની વર્કિંગ મૅમરી, વર્બલ આઈ કયું, અને સ્પેલિંગ જ્ઞાન એક વર્ષ કરતા ઓછા સમયથી ફેસબુક પર એક્ટીવ હોય તે બાળકો કરતા વધુ હોય છે. કારણ આખી દુનિયામાંથી માહિતીનો ધોધ અહીં વહેતો હોય છે. એની સાથે અનાયાસે રમતા રમતા અનાયાસે ચિંતનમનન થઈ જતું હોય છે.

એક અભ્યાસ જણાવે છે કે ૫૦ વર્ષ વટાવ્યા પછી એકલતા માનવીમાં બ્લડ પ્રેશર વધારવાનું કામ કરતી હોય છે. એટલે એકલતાના નિવારણ માટે મિત્રો હોય તે જરૂરી છે. પણ એવું જરૂરી નથી કે એકલતા દૂર કરવા અસંખ્ય મિત્રો જોઈએ. કે જેમ મિત્રો વધુ તેમ એકલતા વધુ દૂર રહે. એકલતા તમે કેટલા એકલા છો તેના પર આધાર નથી રાખતી પણ તમે કેટલું એકલવાયું અનુભવો છો તેના પર આધાર રાખે છે. ઘણીવાર સગાંસંબંધીઓનાં ટોળા વચ્ચે પણ માણસ એકલતા અનુભવતો હોય છે. ક્યારેક બહુ મોટી પાર્ટીમાં પણ ઘણીવાર એકલતા અનુભવાતી હોય છે. અને ક્યારેક મારા જેવાને સારા પુસ્તકો વાંચવા મળી જાય તો એકલો હોઉં તો પણ એકલતા લાગે નહિ..આમ મિત્રતામાં ગુણવત્તા વધુ મહત્વની છે સંખ્યા નહિ. બહુ ઓછા મિત્રો સાથે પણ એકલતા નિવારી શકાતી હોય છે. અરે! જેની હાજરીમાં એકલતા ગાયબ થઈ જાય તે સારો મિત્ર, બોર નાં કરે તે સારો મિત્ર, જેની હાજરીમાં કમ્ફર્ટેબલ ફીલ કરી શકાય, જેને મળીને જ ખુશ થઈ જવાય, તે સારો મિત્ર..

ફેસબુક પર ગમે તેટલા ફ્રેન્ડસ હોય ખરેખર આપણે બહુ ઓછા મિત્રો સાથે interact ક્રિયાપ્રતિક્રિયા કરી શકતા હોઈએ છીએ. ૫૦૦ મિત્રો ફેસબુક પર હોય તો ભાગ્યેજ ૧૫-૧૭ મિત્રો સાથે અરસપરસ interact કરી શકતા હોઈએ છીએ એવું એક અભ્યાસ બતાવે છે. આ વર્ચ્યૂઅલ ફેન્ડશીપ ક્યારેક રિઅલ મિત્રતામાં પણ બદલાઈ જતી હોય છે. પરદેશમાં રહેતા ફેસબુક મિત્રો દેશમાં આવીને વર્ચ્યૂઅલ મિત્રોની મુલાકાત લઈને એમને રિઅલ મિત્રો પણ બનાવી લેતા હોય છે.

ફેસબુક કે બીજી કોઈપણ સોશિઅલ વેબસાઈટ ઘણા માટે જાત સાથેની ઓળખ પણ બની શકતું હોય છે. હું શરૂમાં ફેસબુક પર ખાસ આવતો નહિ. મને ખુદને ખબર નહોતી કે આ ઇન્ટરનેટ મને લખતા કરી દેશે. મેં સપને પણ વિચાર્યું નહોતું કે હું લખતો થઈ જઈશ. શરૂમાં મેં ઓનલાઇન વાંચવા મળતા દિવ્યભાસ્કરમાં કોઈ લેખ નીચે ટિપ્પણી લખવાનું શરુ કરેલું. એમાંથી પોતાનો બ્લોગ બનાવી લખવાનું શરુ કરેલું. તે સમયે મારા વિચારો અસ્તવ્યસ્ત રીતે લખીને બ્લોગમાં મૂકતો થયેલો. પણ બીજા બ્લોગર મિત્રોએ એને સરાહવાનું શરુ કર્યું એમાં મને વધુને વધુ લખવાની ચાનક ચઢવા લાગી. ધીમે ધીમે ઘડાતો ગયો અને લખાણ પણ સુધરતું ગયું. ફેસબુક પર ભાગ્યેજ આવતો. ફેસબુક પર સૌ પ્રથમ મારી જાહેર ઓળખ આપનાર મિત્ર દર્શિત ગોસ્વામી બન્યા. એમણે મારો એક લેખ મારા નામ સાથે ફેસબુક પર પ્રસિદ્ધ કર્યો એને મિશ્ર પ્રતિભાવો મળેલા. થેન્ક્સ દર્શિત.

ફેસબુક દ્વારા મને ખૂબ સારા મિત્રો મળ્યા છે. તમારી અંદર છુપાયેલી પ્રતિભા બહાર કાઢવાનું ફેસબુક સારું માધ્યમ બની શકે છે. ઈમેલ અને બ્લોગ દ્વારા બહુ ઓછા મિત્રો સાથે સંપર્કમાં રહી શકાય છે પણ ફેસબુક દ્વારા એકસાથે અનેક મિત્રો અને સગાસંબંધી સાથે સંપર્કમાં રહી શકાય છે. જૂની ઓળખાણો તાજી થતી હોય છે. કોઈપણ વસ્તુની સારીનરસી બાજુઓ હોય છે તેમ ફેસબુકને પણ હોય છે. કૉલેજ સ્ટુડન્ટ વચ્ચે કરાયેલો એક અભ્યાસ જતાવે છે કે જે લોકો ફેસબુક ઉપર પોસ્ટ અને સ્ટેટ્સ વધુમાં વધુ અપડેટ કરતા રહેતા હોય છે તેઓ સામાન્ય સંખ્યામાં સ્ટેટ્સ અને પોસ્ટ અપડેટ કરતા લોકોની સરખામણીએ ઓછી એકલતા અનુભવતા હોય છે.

સારી તંદુરસ્તી માટે આપણને ખબર છે કે પૌષ્ટિક ખોરાક લો, નિયમિત કસરત કરો, અને પૂરતો આરામ કરો, પણ કેટલા જાણે છે કે એની સાથે સામાજિક જોડાણ પણ મહત્વ ધરાવે છે? સામાજિક જોડાણ શારીરિક અને માનસિક હેલ્થ ઈમ્પ્રુવ કરે છે તે પણ જાણવા જેવું છે. વધુ પડતું વજન હેલ્થ માટે નુકસાનકારક છે જ પણ તેના કરતા વધુ નુકશાન જો તમે સામાજિક સંબંધો નાં ધરાવતા હોવ ત્યારે થતું હોય છે તેવું પણ એક અભ્યાસ જણાવે છે. ખૂબ મજબૂત સોશિઅલ કનેક્શન ધરાવતા લોકોનું આયુષ્ય વધવાના ચાન્સ ૫૦ ટકા વધી જતા હોય છે. સોશિઅલ કનેક્શન આપણી ઈમ્યુન સિસ્ટિમ મજબૂત કરે છે. Steve Cole નામના વૈજ્ઞાનિકે રિસર્ચ કરેલું છે કે સોશિઅલ કનેક્શન આપણી ઈમ્યુન સિસ્ટિમ ઈમ્પ્રુવ કરે છે જેના લીધે બીમારીમાંથી જલદી બહાર આવી જવાય છે અને તેના લીધે આયુષ્ય પણ વધે છે. જે સામાજિક રીતે બીજા લોકો સાથે વધુ કનેક્ટેડ હોય છે તેઓને anxiety અને depression ઓછું થતું હોય છે. સામાજિક મજબૂત જોડાણ સેલ્ફ એસ્ટીમ વધારે છે, બીજા પ્રત્યે સહાનુભૂતિમાં વધારો કરે છે સાથે સાથે સહકારની ભાવના વિકસે છે, તેનો લાભ બીજાને મળે તો સામેથી આપણને પણ મળતો જ હોય છે. “પરસ્પર દેવો ભવઃ”

ઓછું સામાજિક જોડાણ ધરાવતા લોકોની શારીરિક અને માનસિક હેલ્થ ઓછી થતી જાય છે જેના લીધે એન્ટીસોશિઅલ પ્રવૃત્તિ વધવાનું જોખમ પણ વધી જતું હોય છે તેમ તેમ એકલા પડવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે. એન્ગઝાયટિ, ડિપ્રેશન અને અસામાજિક વૃત્તિઓ સામે અસહાયતા ક્યારેક આત્મહત્યા તરફ દોરી જાય છે.  We are biologically, cognitively, physically, and spiritually wired to love, to be loved, and to belong. આવું ના બને તો ભાંગી પડાતું હોય છે, સંવેદનહીન બની જવાતું હોય છે જે એકંદરે નુકશાન કરતું હોય છે. આપણે વિચારીએ છીએ કે આપણે ધનિક થવા માંગીએ છીએ, સત્તા અને પ્રસિદ્ધિ મેળવવા માંગીએ છીએ, સૌન્દર્ય અને અમર યુવાની ઇચ્છીએ છીએ, નવી કાર જોઈએ છે, પણ આ બધી ઇચ્છાઓના મૂળમાં સામાજિક સ્વીકાર ઇચ્છતા હોઈએ છીએ, કોઈને પોતાના બનાવવા અને કોઈના બનવા માંગતા હોઈએ છીએ. હવા, ખોરાક અને પાણી સાથે સોશિઅલ કનેક્શન આપણી મૂળભૂત ચોથી જરૂરિયાત છે.

મૂવી જોતા વખતે આપણે ભૂલી જતા હોઈએ છીએ કે આ પડદા પર નૃત્ય કરતા દ્ગશ્યોના ટુકડા એકધારા લયમાં ઝડપથી પસાર થતા પારદર્શક ચિત્રો જ છે. આપણે એમાં માનસિક રીતે ઇન્વોલ્વ થઈ જતા હોઈએ છીએ. બસ તેવું જ ફેસબુક જેવા વર્ચ્યૂઅલ જગતનું પણ છે. અને ખરેખર આ વર્ચ્યૂઅલ જગત વર્ચ્યૂઅલ પૂરેપૂરું હોતું પણ નથી. ભલે આપણે ફેસબુક મિત્રોને મળ્યા નાં હોઈએ પણ હકીકતમાં તેઓ બીજા દેશમાં કે શહેરમાં બેઠેલા હોય છે તો ખરા જ. ફેક આઈડી પાછળ પણ કોઈ જીવંત વ્યક્તિ છુપાયેલો તો હોય જ છે. એવા મિત્રોને ખરેખર મળવાના ચાન્સ ૧૦૦ ટકા હોય જ છે. એટલે ભલે ના મળ્યા હોઈએ એમના સુખે સુખી અને એમના દુઃખે દુઃખી પણ થવાતું જ હોય છે, એના માટે કોઈ રિસર્ચની જરૂર નથી. જેને હું કાયમ ઝાઝું લક કહીને સંબોધન કરતો હતો તે ઝલક પાઠકની કાયમી વિદાયનાં સમાચાર સાંભળી વહેલા આંસુ વર્ચ્યૂઅલ નહોતા તે એની સાબિતી છે.

આ ફેસબુક મિત્રતા કહો કે વર્ચ્યૂઅલ મિત્રતા કહો તેના વિષે જુદા જુદા મિત્રોના વિચારો પણ જાણવા જેવા છે.

પોતાનું આગવું વિચાર વલોણું રજૂ કરતા શ્રી અશોકસિંહ વાળા કહે છે, “સોશિયલ સાઇટના ફાયદા અચૂક છે પરંતુ સાઇડ ઇફેક્ટનો સૌ કોઈ ને અનુભવ હશે જ… તમારા એકના એક દિલ પર હાથ રાખીને કહો? પણ પણ પણ આ આભાસી સંબંધો વાસ્તવિક સંબંધોનું આધુનિકરણ છે જે સાચે જ વ્હાલુ લાગે એવું છે… ખરેખર આ ૧૧ પાસ અશ્કાએ આકાંક્ષાથી ઉપરના મિત્રો અને માન-સંમાન ફેસબુક પર મેળવ્યું છે.”

હું એમને કાયમ કહેતો હોઉં છું કે પન્નાલાલ પટેલ પણ બહુ ભણેલા કે સ્નાતક નહોતા પણ એમણે જે સર્જન આપ્યું છે તે કદી ભૂલાય તેવું નથી. ભણતરનો ફેર ચોક્કસ પડતો હોય તમારા સર્જન ઉપર પણ ફરજિયાત ફેર પડે તે જરૂરી નથી. વધુમાં આગળ ઉમેરતા તેઓ કહે છે,

“મિત્રતામાં વિચારોની સમાનતા હોય ત્યાં મૈત્રી ટકવાનાં ચાન્સ ખૂબ વધી જતાં હોય છે મારી જ વાત કરું તો નાનપણમાં ગામડે મોટાભાગના મિત્રો સાથે મારે બનતું નહિ કારણ કે મને/મારા વિચારોને કોઈ સમજે નહિ એટલે કાયમ મિત્રો સાથે મતભેદ રહે અને દરરોજના મતભેદ આખરે મનભેદમાં પરિવર્તિત થાય જતાં હોય છે અને કોઈ એક લેખ, કવિતા કે રચનાને આપની કૉમેન્ટ દ્વારા સંપૂર્ણ ન્યાય આપવો પણ ખૂબ અઘરો અને કદાચ દિલના ખરા શબ્દોથી ઈમાનદારી પૂર્વક ન્યાય ન પણ આપી શકાય ખાસ કરીને ત્યારે જ્યારે મનમાં લાઇકનું ભૂત ધૂણતું હોય… હાહાહા… ક્યાંક હાસ્યના હુલ્લડમાં મન પ્રફુલીત કરવા હાસ્ય પ્રચુર કૉમેન્ટ કરવાની… ત્યાંથી મૂડ ચેઇન્જ કરી કોઈ એક ધાર્મિક પોસ્ટ પર કોઈની ધાર્મિક લાગણી ન દુભાય એનો ખયાલ રાખી કૉમેન્ટ કરી નીકળ્યાં હોય ત્યાં તર્ક સંગત પોસ્ટમાં કૉમેન્ટ કરવાનું આમંત્રણ નોટિફિકેશનમાં આવીને ઉંભુ હોય આ કોમેન્ટોની ભાગદૌડમાં આપણાં ખૂદના વિચારોનો વિરોધાભાસ છતો થયા વગર નથી રહેતો કોઈ પણ વસ્તુ વિષયનો વિરોધાભાસ તો હોવાનો જ એમાં પણ ખાસ કરીને સોશિઅલ સાઇટના તો નબળા અને સબળા પાસા ઊડીને આંખે વળગે એવા… ગામ હોય ત્યાં ઉકરડા પણ હોય એટલે ગામ છોડીને ભાગી થોડું જવાનું? ઉકરડાની સફાઈને પ્રાથમિકતા આપવી ઘટે… વિવેક બુદ્ધિથી ઉપયોગ કરીએ તો ફેસબૂક એક અદ્દભૂત સોશિઅલ સાઇટ છે અને એના સેંકડો ફાયદાઓને પણ નજર અંદાજ ન જ કરી શકાય.”

શ્રી અશોકસિંહ સંવેદનશીલ અછાંદસ કવિ પણ છે તેઓએ ફેસબુકને અનુલક્ષીને એક સુંદર કવિતા પણ લખી છે, ચાલો તે પણ માણી લઈએ.

“માયા ફેસબૂકની”

લાઇકની લ્હાયમાં હલવાણા આ ધુરંધરો

કોયડો કોમેન્ટનો થતો જાય એવો અઘરો,

નર હોય કે, હોય નારી તણી કોઈ દિવાલ

ચડી દિવાલ પર કરે કૉમેન્ટ રૂપી મુજરો,

ફેસબૂક સમંદરની સૌ નાની મોટી માછલી

શબ્દો સૌ કોઈના છે અહીં અજીબ તવંગરો,

અહં આડોડાઈ અકળાવે અંદરથી સૌને

નિખાલસ મનમાં કીડો છે આ કેવો જબરો,

મળે નાનાને ટૅગમાં પણ મોટો ધૂત્કાર અહીં

ને મોટા માંથા કણે જાય વણ નોતર્યો નવરો,

સમયની થપાટે સુધરશે સૌ કોઈ “અશોક”

અપ ટુ ડેટ લિબાસ, છે અંદરથી ઇ લઘરો

– અશોકસિંહ વાળા

વિચક્ષણ પોલીસ અધિકારી શ્રી રાજ બ્રહ્મભટ્ટનું કહેવું છે, “Virtual friendship ! It feels good to be here. Most of us are known according to our profile. We find imaginary characters close to us through their posts, comments, blogs, photos etc. Most of us are bonded with third type of friendship. Yet there are chances  for first & second type friendships too. One thing is for sure, its eternal.”

અમારા મસ્ત મૌલા બલવંતસિંહ જેઠવા સાહેબે ફક્ત ચાર પંક્તિમાં ફેસબુકનો આભાર ઉમદા રીતે સાવ સરળતાથી માની લીધો,

               “ફેસબુકના ના સેતુંથી હૈયા આપણાં ફૂલ્યાં,

             બંધ કંઈક જુના દરવાજા ખૂલ્યાં.

             સ્નેહ સમંદરના મોજે રોજ ઝૂલ્યાં,

             મળ્યાં જુના દોસ્તો હતાં જેને ભૂલ્યાં.”

સંવેદનશીલ હૃદય ધરાવતા સ્વાતિબેન સુથારનું કહેવું છે, “કઈ નક્કી નથી કરી શકાતું કે કેવી મિત્રતા હોય છે એફ.બી. પર? માણસોનું એકબીજા સાથે કોમ્યુનીકેશન જ જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.. જેથી માણસ પોતાની સુખ કે દુખની લાગણી બીજા સાથે શેર કરી શકે અને સ્વસ્થ રહી શકે તન અને મન થી…પરંતુ અહીં આવું પણ બને જેને તમે ખૂબ સહૃદયી  મિત્રો માન્યા હોય.. એ જ તમારા માટે કૈંક ભળતો જ ઓપિનિયન રાખતા હોય ! અને ત્યારે !..તમારી એમના તરફની લાગણી ઓ ને ગળે ટૂપો આપી દેવો પડે…હોતા હૈ ચલતા હૈ…..!  જ્યારે ના વિચારેલા અજાણ્યા મિત્રો તમને ખૂબ મદદરૂપ બનતા હોય છે ! આપણી જાત ને ઠમઠોરી ને કેળવવા માટે પણ આવા સંબંધો જરૂરી છે, એમ માનવું.

પોતાના આગવા રાજકીય દ્રષ્ટિકોણ માટે જાણીતા શ્રી અમરીશ પટેલનું કહેવું છે કે, “ફેસબુક આપણ ને અલગ અલગ વયના સ્ત્રી અને પુરુષો કૉલેજમાં ભણતા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ અને વરિષ્ઠ નાગરિકોના મનમાં શું ચાલી રહ્યું છે જાણવાનું અદ્ભુત પ્લેટફોર્મ પૂરું પાડે છે. સામાન્ય સંજોગોમાં ૧૭ કે ૨૦ વર્ષના તરુણ કે તરુણી કે ગૃહિણીઓ કે અન્ય સ્ત્રીઓ જે તમારા થી ૫૦૦ કે ૧૦૦૦ કે ૨૦૦૦ કિલોમીટર દૂર રહેતા અલગ અલગ જાતિ અલગ અલગ ધર્મના વ્યક્તિ સાથે મિત્રતા કરવી અસંભવિત છે, ફેસબુક એ પ્લેટફોર્મ પૂરું પડે છે ફક્ત Add Friend ની ક્લિક દ્વારા ……….અલગ વ્યક્તિ…..અલગ સમાજ …અલગ પ્રશ્નો ….અલગ અલગ આશાઓ, કલ્પનાઓ વિચારો અને અલગ દ્રષ્ટી કોણ ……અલગ વ્યથા અને અલગ અલગ સંવેદનાનો અનુભવ કરાવે છે……………..ફેસબુક એ મહાસાગર છે જ્યાં મહેનત કરો તો મિત્રો રૂપી મોતી મળવાના જ છે ………મળ્યા વગર એકબીજા સાથે સંવેદના અનુભવવી એ ૨૧મી સદીની મિત્રતાની નવી પરિભાષા છે ……….જ્યારે મળીએ છીએ ત્યારે વધુ આનંદ અનુભવાય છે જેમ બાળપણનો મિત્ર ૧૦ કે ૧૫ વર્ષે મળતો હોય એવી લાગણી અનુભવાય છે. આફ્ટર ઓલ માણસ સામાજિક પ્રાણી છે, જૂથ વગર ટોળા વગર બેચેની અનુભવે છે, એકલતા હતાશા પ્રેરે છે, ત્યાં એફ બી આ એકલતાનો પ્રભાવ કે અસર કૈંક અંશે ઓછી કરે છે …..પરદેશમાં અજાણ્યા લોકોની વચ્ચે રહેતા લોકો પણ આ માધ્યમ થકી પોતાને પોતાના દેશમાં રહેતો હોય એ રીતે જોડી રાખે છે. અને એમાં નોંધવા પાત્ર વાત એ છે કે એમાં વિષયો ની વિવિધતા ખુબજ છે સંગીત ……રાજનીતિ …સામાજિક ……..ફિલ્મ્સ …..સ્પોર્ટ્સ ..સાયકોલોજી ……હ્યુમર ……..સંવેદનશીલ કથાઓ જે વાચકો ના જીવન સાથે સંકળાયેલી હોય છે ……..આમ રસ ના વિષયો વધતા જ જાય છે જે સારો સંકેત છે.”

દક્ષિણ ભારતીય કાનુડાને પોતાના હ્રદયનો રાજકુમાર બનાવીને બેઠેલા એક સંવેદનશીલ ગૃહિણી નિવારોઝીન રાજકુમાર ફેસબુક મિત્રતા વિષે ખૂબ જ હકારાત્મક વિચારો ધરાવતા કહે છે,

આજે ….FACEBOOK..વિશે એક હકારાત્મક અભિગમ…!

(સામાન્ય રીતે જરાક જુદી રીતે …જોવાતું , ચર્ચાતું હોય છે)

Fb..એક સમાજ છે …અલગ અલગ ઓળખ અને વિચારો ધરાવતા લોકો અહિં પણ જોવા મળે છે…બસ થોડું ધ્યાન થી જોવાની , સમજવાની જરૂર પડે…

FB.. એક પરિવાર છે….જરૂર પડ્યે હૂંફ કે સહારો કે થોડા સમય માટે સાથ તો અહિં મળી જ શકે છે…અહિં તમારી વર્તુળની પસંદગી પર બહુ આધાર રહે….નાના નાના ઝઘડાઓ થતા અને મિટતા મેં ખુદ જોયા છે….

FB.. એક મિત્રતા છે , જે અહિં પણ તમારા મારા પર આધાર રાખે છે ..કે આપણે કઈ રીતે નિભાવી શકીએ છીએ…અપેક્ષાના ધોરણો તમારે નક્કી કરવાનાં….

FB.. એક શાળા છે…જ્યાં નવું નવું શીખવાની ઘણી તકો છે..જો ઇચ્છો તો…ઘણું મેળવી શકાય….સારુ મેળવી શકાય…..

FB ..એક સંગઠન છે….જ્યાંથી અનેક સામાજિક પ્રથા-કુપ્રથામાં ફેરફારો શક્ય છે…. awareness..પણ પેદા કરી શકાય….opinion…લઈ શકાય…

FB ..એક સબળ માધ્યમ છે …જેના દ્વારા છૂટા પડેલા અનેક મિત્રો તમે પાછા મેળવ્યા છે….

FB ..એક પ્રવૃતિ છે…પોતાની ધણી બધી આવડતો લોકોને બતાવવાનું ઉત્તમ …છે…સંગીત ,કાવ્યો , લેખો કે એવી કોઈ સ્વતંત્ર ..creativity…..ને અહિં બહોળો અવકાશ છે…

FB.. એક રામબાણ ઇલાજ છે …એકલતા દૂર કરવા માટેનો…જે અહિં જોડાયેલા કેટલાય senior citizens …ને કુટુંબ જેવો …અપનાપનનો અહેસાસ કરાવે છે…ઉપરાંત નકારાત્મક વિચારો થી દૂર રાખે છે…અને સૌથી જરૂરી વાત…એમને …i m wanted ….અનુભવ કરાવે છે..

તમને શું લાગે છે…….?”

    નિવારોઝીન બહેન તમને જે લાગે છે તે જ મને તો લાગે છે. બીજા મિત્રોને પણ એવું જ લાગતું હશે તેમાં કોઈ શક હાલ તો લાગતો નથી. વધુમાં એમનું કહેવું છે કે, ”ગુજરાતી ભાષા જાણે થોડા સમય પછી પાછી આળસ મરડીને ઊભી થઈ હોય એવું જ લાગે છે…..જોરદાર અભિવ્યક્તિઓ જોવા મળી રહી છે….ક્યારેક ન વ્યક્ત થયેલા આત્માઓ વ્યક્ત થઈ રહ્યા છે….જમાપાસા ઘણા છે…થોડા ખરાબ પાસા અવગણીએ તો…..

છોટે ગુગલ મહારાજ શ્રી પૃથ્વિરાજસિંહ રાણા પોતાનો અનુભવ દર્શાવતા કહે છે,

“હું પણ યાહૂ વખતે તેમાં ગાંડા બની ગયેલા લોકો ને જોતો હતો આખી રાત રાત ચેટિંગ કરતાં હોય છે ને એ વખતે પણ એવા જ લોકો હતા જેઓ ને રિયલ લાઇફમાં કોઈ દોસ્તો નહોતા અથવા તો મતી અનુસાર દોસ્તો નોહતા ,,,, બરોબર એવ જ સમયમાં મારે રાજકોટથી વાંકાનેર આવાનું બન્યું ને ત્યારે આહિયા અકિલા ન્યૂઝ વાંચવું સમયના પ્રમાણમાં થોડું અઘરું બન્યું ને તે લીધે વળી નાછૂટકે નેટ પર આવ્યો ને તેમાંથી મામાના એકાઉન્ટમાં થી રાઓલજીના લેખની નોટ વાંચવાનું શરૂ જ કરતો હતો ને ત્યાર થી પછી હું પણ ફેસબૂકનો વ્યસની ક્યારે બની ગયો એ પણ ખબર નો પડી. આમ તમે રાઓલજી મારા આ દુર્વ્યસન માટે સીધી રીતે જ જવાબદાર છો (ને સજા રૂપે તમારે અમેરિકન સ્કોચ પિવડાવી પડશે ખી ખી ખી) એ બાદ કોમેન્ટમાં અને શાયરો ને કવિઓ ને 10\10 ની અંદર માર્ક આપીને કૉમેન્ટ કરતો હતો ને એમાંથી ક્યારે પક્ષ કે પ્રતિપક્ષ કોમેન્ટને બાદમાં પોસ્ટ કરતાં થાય ગયો એ તો હવે ખ્યાલ પણ નથી..  હા આજે પણ ગમતી પોસ્ટ કે કોમેત્ન ને લાઈક તો આપું જ છું ,,,બને ત્યાં સુધી ફ્રેંડલિસ્ટ નાનું રાખવા ની કોશિશ કરું છું ને સિલેકટેડ લોકો સાથે જ વોટ્સએપ કે ડાઇરેક્ટ મળવા નું પસંદ કરું છું ,,,ફેસબૂક ફંડા માટે એટલું જ કહીશ કે અહિંયાં થી મને વધારે મળ્યું છે…… ગુમાવવાની નોબત હાલ સુધી તો આવી નથી…… આગળ અલ્લાહ માલિક……

એકદમ બેલેન્સ્ડ વિચારો ધરાવતા યુવાન મિત્ર કૃણાલ રાજપૂતે તો આ બાબતે આખો નિબંધ જ લખી નાખ્યો છે. છતાં ટૂંકમાં એમના શબ્દોમાં જ જોઈએ. “ ફેસબુક આભાસી દુનિયા છે પણ વાસ્તવિક દુનિયા છે તે પણ ક્યારેક આભાસી નીકળતી હોય તેવું લાગે છે. જે પ્રેમિકાને દિલથી પ્રેમ કર્યો હોય તે ટાટા બાય બાય કરીને જતી રહે ત્યારે એમ થાય કે તો વાસ્તવિક શું હતું ? ક્યારેક પોતાનો કોઈ જીગરી મિત્ર જ બે પૈસા કમાઈ લે અને આપણે તેને અમસ્તાં મિત્રભાવે જ મળવા પહોચી જઈએ અને તેની વાતોમાં ફોર્માલીટી અને પોતાની સકસેસના શો ઑફની વાતો વધારે આવી ગઈ હોય ત્યારે એમ થાય અલ્યા જીવ, આ તો કોસ્મેટીક સર્જરી કરેલું કોઈ બીજું પ્રાણી લાગે છે. ફેસબુક જોઈન કર્યું હતું ત્યારના મિત્રવર્તુળમાંથી ઘણા વાસ્તવિક જીવનમાં થાય છે તેમ વિખેરાઈ ગયા, કેટલાક વૈચારિક મતભેદોથી જૂથોમાં વહેંચાઈ ગયા, કેટલાક નવા ઉમેરાયા. આપે કહ્યું કે કોઈ મિત્ર લાઈક કે કૉમેન્ટ ના આપે તો ખોટું લાગે. કાલે જ એક મિત્ર સાથે વાત થતી હતી કે અમુક વખતે જે પોસ્ટ લખવામાં ૩-૪ કલાક બગડ્યો હોય અને જેને વાંચવામાં પણ ૫ થી ૧૦ મિનિટ લાગે તેવી પોસ્ટ પર પણ અમુક મિત્રો અરધી કે એક મિનિટ માં લાઈક આપી દે ત્યારે એમ લાગે કે મિલ્ખાસિંઘ માત્ર દોડવામાં નહિ વાંચવામાં પણ પેદા થાય છે. આવા લોકો વાંચવામાં મિલ્ખાસિંઘની સાથે સમજવામાં ખુસવંતસિંઘ પણ હોતા હશે. હું પોતે લાઈકની વાડકી વહેવારમાં માનતો નથી. વગર વિચારે કે વગર વાંચે યંત્રવત લાઈક આપવી એ મને વહેવારુ લાગતું નથી. ક્યારેક વાંચી ના શક્યો હોઉં કે કોઈ મુદ્દા પર સમજાયું ના હોય અથવા તો કોઈ મુદ્દા પર મારું પોતાનું મંતવ્ય સ્પષ્ટ ના હોય તો હું લાઈક નથી આપતો. જોકે મોટાભાગે આવી પરિસ્થિતિ નહિ વાંચી શકવાના કારણે આવી ગયી હોય છે. હાલ હવે નવા મિત્રો એડ કરવાના લીમીટેડ કર્યા છે તેનું કારણ એજ છે કે દરેકની પોસ્ટ વાંચી નથી શકાતી. જોકે ફેસબુક નવા મિત્રો પણ બનાવી આપે જેમાં કેટલાક સાથે વાસ્તવિક જીવનમાં પણ મિત્ર બને છે. કેટલાક સાથે માત્ર ફેસબુક પૂરતી જ રામાશ્યામા હોય છે. પોતાના વિચારો સમજી ના શકે તેવું સામાજિક વર્તુળ ના હોય તેઓ અહીં પોતાના વિચારો રજૂ કરે અને તેમના વિચારોને / ક્રિએટીવીટીને પ્રોત્સાહન આપનારા મળી રહે. કોઈને કવિતા લખવાનો શોખ હોય અને તેના સામાજિક વર્તુળમાં કવિતા સંભળાવવી એ અક્ષમ્ય અપરાધ હોય તો તે અહીં પોતાની ક્રિએટીવીટી દર્શાવી શકે છે. આવા લોકો અહીં ફેસબુક પર ભેગાં થઈને પોલીસની દખલ વગર એકબીજા પર કવિતામારો કરી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિને તેના વિચારો સમજી શકે તેવા લોકો મળે ત્યારે તેને એકલવાયું ના લાગે પણ જો ટોળામાં પણ તેના વિચારો સાથે કોઈ અનુકૂળ ના હોય તો તે એકલતા અનુભવે. ફેસબુક ભલે વર્ચુઅલ પ્લેટફોર્મ હોય પણ તેની પાછળના વ્યક્તિત્વો તો વાસ્તવિક જ હોય છે એટલે માનવ સ્વભાવગત રેફ્લેક્સન પણ અહીં જોવા મળે છે.”

વિદ્વાન મિત્ર શ્રી જયેન્દ્ર આશરા એમના કોઈ મિત્રનો દાખલો કહે છે, “અમારા એક-નવા મિત્ર 2-વર્ષ પહેલાં ફેસબુક ઉપર પાગલ-ની-જેમ ચીપકી ને લાંબી-લાંબી કૉમેન્ટ કરતા … અને અમે તેમને પાગલ સમજતા … પણ જ્યારે રૂબરૂ મળવાનું થયું ત્યારે ખબર પડી કે – “તેઓ પત્નીથી અત્યંત દુખી હતા અને ડીપ્રેશનમાં આવી ગયેલા એટલે પછી કોઈ મિત્રની સલાહથી ફેસબુક એકાઉન્ટ ખોલ્યું અને જાણે વર્ષો-જુના મિત્રો મળ્યા હોય તેમ તેમને અનુભવ્યું … અમારા આ મિત્ર ખુબજ સારી કવિતાઓ કરી અને તેમનું માનસિક સંતુલન જાળવે છે અને હવે તેમનો ડંકો ફાઇનાન્સીયલ-માર્કેટમાં પણ વાગવા માંડ્યો છે” …. ટૂંકમાં – તેમને જબર-જસત માનસિક આર્થિક રાહત મળી છે .” આ થયો ફેસબુકનો હકારાત્મક ઉપયોગ. વધુમાં શ્રી જયેન્દ્રભાઈ એમના પોતાના વિચારો ઉમેરે છે, “મારા તમામ વિચારસાથી-વિચારવીરોધી મિત્રો મને અત્યંત પ્રિય છે … અહીં ગજબનું બેલેન્સ છે … કોઈનું કે તમારું અભિમાન પણ નાં વધે … અને તમે જમીન ઉપર ચીપકીને રોજ નવું શીખો તેવું અદ્ભુત-પરોક્ષ ફલક તે તમારું ઓક્સીટોસીન-ડોપામાઈન કંટ્રોલમાં રાખે છે … જ્યારે અહીં ઈસ્ટ્રોજન-ટેસ્ટેસ્ટીરોન પણ ઊભરાય છે..”

જોયું મિત્રો? ફેસબૂકનાં ફાયદા અનેક છે તો ગેરફાયદા પણ છે. એમાં ફેસબૂકનો કોઈ વાંક નથી.

રેફરન્સ

        :   http://www.sciencemag.org/content/241/4865/540.short

        :   http://www.pnas.org/content/early/2011/03/22/1102693108.abstract

        :   http://www.psy.cmu.edu/~scohen/Pressman,%20S.,%20Cohen,%20S.,%20Miller,%20G.%20E.,%20Rabin,%20B.%20S.,%20Barker.pdf

પિતૃત્વ માનવ સંસ્કૃતિનો પાયો

 પિતૃત્વ માનવ સંસ્કૃતિનો પાયો

th એક વૃક્ષ એના બીજને પવન દ્વારા માઇલો દૂર મોકલી આપે છે. એ ફળીભૂત થશે કે નહિ તેની એને ખબર નથી. એક મત્સ્ય અગણિત ઈંડા ઉપર પોતાના સ્પર્મ વહાવીને પાણીમાં તરતા આગળ વધી જાય છે. આ ઈંડા ફળીભૂત થશે કે નહી તેની દરકાર તેઓ કરતાં નથી.  કોઈ કોઈ જાતિમાં નરપક્ષી એના બચ્ચાને ખવડાવે છે, પણ ઊડવાનું શીખ્યા પછી બચ્ચાને ભૂલી જાય છે. સસ્તન પ્રાણીઓ  એના નાના બચ્ચાને પ્રિડેટરથી બચાવે છે, પણ પોતાની જાતને પહેલો પ્રેફરન્સ આપે છે. સિંહ સિંહણે કરેલા શિકારને છીનવી લે છે, બચ્ચાનાં મુખમાંથી ખાવાનું છીનવી લે છે. વાનરો અને એપ્સ એમના બચ્ચા સાથે રમે છે, પણ કોઈ વાર એમને મારી નાખવાનો પ્રયત્ન પણ કરતા હોય છે. ખાલી  માનવ નર એના બાળકોના રસમાં રસ લે છે, એની સાથે રમે છે, પોતાના રસ એનામાં રેડે છે. આ એક બહુ મોટું વિશાળ ઇવલૂશનરી સ્ટેપ છે. પિતા આપણને લાગણીઓ ઉપર કાબૂ રાખવાનું શીખવે છે.

        પિતૃત્વ માનવ સંસ્કૃતિનો પાયો છે. The act of fathering is the foundation of human civilization.

ઘરમાં પિતાની ગેરહાજરીથી પડતી નકારાત્મક અસરો વિષે ઘણું લખાય છે પણ પિતાની હાજરીના મહત્વ વિષે ખાસ લખાતું નથી. ઘરમાં પિતાની સક્રિય હાજરી છોકરાઓમાં થતા બિહેવ્યર પ્રૉબ્લેમ્સ ઓછા કરે છે અને છોકરીઓમાં સાઇકૉલોજિકલ પ્રૉબ્લેમ્સ ઓછા કરે છે. બાળકોમાં પેદા થતું આક્રમક વલણ પિતાની હાજરીમાં ઓછું થતું હોય છે. પિતાની નિયમિત સક્રિયતા બાળકોમાં પેદા થતા માનસિક અને બિહેવ્યર પ્રશ્નો ઓછાં કરી ચિંતનકારક વિકાસ કરતો હોય છે. મતલબ બાળક વિચારશીલ બનતું હોય છે.

કિશોરવયની છોકરીઓમાં મોટો પ્રશ્ન ડિપ્રેશન હોય છે. કિશોરવયના છોકરાઓમાં મોટો પ્રશ્ન બેદરકારી અને પ્રમાદ હોય છે, કોઈ કામ સરખું કરે નહી. પિતાની હાજરી આમાં ચોક્કસપણે ઘટાડો કરે છે. એક “good father” બાળકના વિકાસમાં ખૂબ મહત્વનો ફાળો આપે છે, પણ “good father” કોને કહેવો ? બાળકોના જીવનમાં સક્રિય ફાળો આપતા હોય તેને સારા પિતા કહેવાય.

Active involvement is often defined in terms of (a) engagement (directly interacting); (b) accessibility (being available); and (c) responsibility (providing resources). સંતાનો સાથે સંવાદિતા, સંતાનો માટે સમય અને સંતાનો માટે સંપદા ફાળવનાર પિતા ઉત્તમ પિતા કહેવાય. સંવાદિતા, સમય અને સંપદા ત્રણ ખૂબ મહત્વના છે. Abusive પિતા ક્યારેય સંતાનો માટે ફાયદાકારક હોતો નથી. actively-involved પિતા એના બાળકો માટે સારા માનવી બનવા, સારા પતિ અને સારા માતા-પિતા બનવા ઉત્તમ ઉદાહરણ પુરુ પાડે છે. અને આવા પિતા ધરાવનાર બાળકો શારીરિક, માનસિક અને સમાજિક રીતે વધુ બેટર હોય છે.

ઘણા પિતા એમના બાળકોના જીવનમાં બ્રેડવિનર તરીકે સક્રિય હોય છે. એમની પાસે બહુ સમય હોતો નથી. ૧૦-૧૨ કલાક કામ કરવું પડતું હોય છે. એમની પાસે એમના બાળકના બાળોતિયાં બદલવાનો કે સ્કૂલની પેઅરન્ટ મિટિંગ અટેંડ કરવાનો સમય હોતો નથી. પણ એ તમામ ટ્યૂશન ફી, પુસ્તકો વગેરે ખર્ચા ભોગવતા જ હોય છે. બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે, ઉચ્ચ ભવિષ્ય માટે ઓવરટાઈમ જૉબ કરીને ખર્ચો પૂરો પાડતા હોય છે.

મારા એક જુના સુપરવાઇઝર ભરુચમા કૉમર્સ ભણેલા. અહીં અમેરિકા આવ્યા પછી લાકડા વહેરવાની જૉબ ફક્ત કલાકના પાંચ ડોલર પગારે કરેલી. ત્યાર પછી એક કંપનીમાં મિકેનિકના હેલ્પર તરીકે જૉબ કરી, એમાંથી પોતે મિકૅનિક બની ગયા, છેવટે સુપરવાઇઝર પણ બન્યા. એમના દીકરાને બ્રાઉન યુનિમાં ભણાવ્યો. દીકરાએ પણ બાપની મહેનત ઉજાળી હાલ ન્યુઅરૉલજિસ્ટ બન્યો છે તે પણ યુનિ પ્રથમ આવી ને.. અમેરિકામાં તમે જે તે સ્ટેટના રહેવાસી હોવ તે મૂકીને બીજા સ્ટેટમાં સંતાનને ભણવા મૂકો તો ફી ડબલ ભરવી પડે. એમણે ડબલ ફી ભરીને દીકરા-દીકરીને ભણાવ્યા છે. પિતાના આવા બલિદાન જલદી નજરમાં આવતાં નથી

મારા પિતાશ્રી માટે એમનાં સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવાનો ધ્યેય મુખ્ય હતો. એનાં કારણે આજે એમનાં વારસદારોમાં ત્રણ પી.એચ.ડી થયેલા છે. એમણે ક્યારેય થાક લાગ્યો એવી ફરિયાદ કરેલી નહી. તેઓ વકીલ હતા અને તાલુકો વિજાપુર હોવાથી કોર્ટ વિજાપુરમાં હતી. તેઓ માણસાથી વિજાપુર બસમાં અપડાઉન કરતા. પહેલીવાર વિજાપુરથી આવીને એક સાંજે એ મારી આગળ બોલ્યા કે બેટા કોઈ દિવસ નહી અને આજે થાક લાગ્યો છે. મેં કહ્યું કાલે સવારે ડૉક્ટરને બતાવી આવીએ. પણ સવાર શું પડે, થાક લાગ્યાની પહેલીવારની વાત કર્યાના બેત્રણ કલાકમાં જ હાર્ટ અટૅક આવ્યો. માણસામાં તે સમયે કોઈ હાર્ટ સ્પેશલિસ્ટ હતો નહી. મારા ખાસ મિત્ર વિક્રમસિંહ રાણા અને મારા એક કઝન બિપિનસિંહ રાઓલ એમની જીપમાં સ્થાનિક ડૉક્ટરને ત્યાં લઈ ગયા. એમણે કહી દીધું કે વકીલસાહેબનું જમણું હ્રદય કામ કરતું નથી મોટો હાર્ટ અટૅક છે એક ડગલું પણ ચલાવતા નહી હાલ તાત્કાલીક ગાંધીનગર હૉસ્પિટલમાં દાખલ કરી દો. બિપિનસિંહ મારા પિતાશ્રીને કોઈ બાળકને ઊચકી ફરે તેમ ઊચકીને ફરેલા. ચાર દિવસ પછી ગાંધીનગરની સિવિલ હૉસ્પિટલમાં ફરી ક્યારેય થાકની ફરિયાદ કરવા રોકાયા નહી, દેહ મૂકી અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા.

માતાએ પાએલા દૂધનો વાસ્તો પિતાના મૂક પ્રેમ અને આપેલાં બલિદાન ભુલાવી દેવા પૂરતો હોય છે.

મારકણા આખલા જેવા યુવાનીમાં ખૂબ અગ્રેસિવ સ્વભાવના હોય એવા પિતાશ્રીઓ એમના દીકરા દીકરીઓ મોટા થતા નરમ પડી જતા મે જાતે જોયા છે. લગભગ પિતા બનતા જ અગ્રેસિવ જણાતા યુવાન મિત્રો થોડા નરમ પડી જતા હોય છે. નવો અભ્યાસ જણાવે છે કે બાળકો સાથે રાત્રે સૂઈ જતા પિતાના testosterone લેવલમાં થોડો ઘટાડો થતો હોય છે. પિતૃત્વ પોતે જ testosterone લેવલ ઘટાડતું જોવા મળે છે. આનું કારણ એ પણ હોઈ શકે કે હવે વંશ વારસો મળી ગયા છે, જીન ટ્રાન્સ્ફર થઈ ચૂક્યા છે હવે બીજા કોઈ પુરુષ સાથે સ્પર્ધા રહી નથી. testosterone પુરુષમાં આક્રમકતા વધારે છે તે હકીકત છે. આમ બાળકો સાથે સુવામાં અકારણ આવતી આક્રમકતા ઓછી થાય છે. જુના વખતમાં ઘણા સમાજોમાં બાળકને તેડી તેડીને આખો દીવસ ફરતા પિતા પ્રત્યે લોકો હસતા, એમાં આ testosterone વિષે તો જાણતા ના હોય પણ એની પુરુષ સહજ આક્રમકતા ઓછી થઈ જવાનો ભય જણાતો હોવો જોઈએ.

પિતાની હાજરીની અસર સંતાનોના સર્વાઇવલ રેટ ઉપર પણ પડતી હોય છે. જો કે અમેરિકા જેવા દેશોમાં એવી અસર જણાતી નથી. માતાના મરણ સાથે એનાં બાળકોનો મૃત્યુ દર વધી જતો દરેક સમાજમાં જોવા મળે છે. હંટર-ગેધરર, ખેતી અને પશુપાલન ઉપર નભતા હોય એવા બધા નહી પણ અમુક સમાજોમા પિતાના મૃત્યુ સાથે એમના બાળકોના મૃત્યુ દરમાં પણ વધારો નોંધાયો છે. Mary Shenk અને Brooke Scelza એ પિતાની હાજરીની અસરો વિશે બેંગ્લોરમાં એક અભ્યાસ કરેલો. બાળકો સાવ નાના હોય કે સગીર હોય અને પિતા મૃત્યુ પામે તો એની અસર ખૂબ પડતી જોવા મળી. એમની અભ્યાસની તક ઉપર ખાસ અસર પડતી હોય છે. પિતા બાળકોના અભ્યાસ, નોકરી કે ધંધોપાણી મેળવવામાં અને લગ્ન વગેરેના ખર્ચ કરી મદદ્કર્તા બનતા હોય છે. પિતા ના હોય કે મૃત્યુ પામ્યા હોય તો આ બધી બાબતોમાં અસર પડતી હોય છે.

આધુનિક બ્રેન સ્કેનિંગ અભ્યાસ જતાવે છે કે પોતાનું બાળક રડતું હોય ત્યારે પિતાના બ્રેનના વિવિધ  hypothalamus, hippocampus, midbrain, અને anterior cingulate વિભાગોમાં ઍક્ટિવિટિ વધી જતી હોય છે. કોઈ બીજાનું બાળક રડતું હોય ત્યારે બ્રેનના આ વિભાગોમાં હલચલ એટલી બધી વધતી નથી.

૧૪ % અનમેરિડ અમેરિકન  male-male couple પાસે બાળકો છે. દત્તક લેવાતા બાળકોમાં ૪ % બાળકો સજાતીય કપલ્સ પાસે છે. સજાતીય સંબંધ ધરાવતા પુરુષ હોય એટલે નપુંસક હોય તેવું માની લેવું નહી. મોટાભાગના ‘ગે’ પુરુષો જે બાળકો ધરાવતાં હોય છે તેઓ ‘ગે’ જાહેર થાય અને એમની પત્ની સાથે ડિવોર્સ લે તે પહેલાં નૉર્મલ સેક્સ દ્વારા બાળકો પેદા કરી ચૂક્યાં હોય છે. ‘ગે’ કપલ સરોગેટ મધર શોધી કોઈ સ્ત્રીનાં એગ(અંડ) એગડૉનર દ્વારા મેળવી પોતાના સ્પર્મ દ્વારા બાળકો મેળવતા હોય છે અને પોતાની પિતા બનવાની મહેચ્છા પૂરી કરી પિતૃત્વ છલકાવતા હોય છે. અથવા કોઈનું બાળક દત્તક લઈને પણ પિતૃત્વ દાખવતા હોય છે.

અમેરિકામાં મધર્સ ડે સફળ વ્યાપારીક ઑકેઝન બની ચૂક્યો છે. આ દિવસે અમેરિકનો ૨.૬ બિલ્યન ડૉલર્સ ફુલો પાછળ, ૧.૫ બિલ્યન ગિફ્ટ પાછળ મોટાભાગે ઝવેરાત, ૬૮ મિલ્યન ગ્રીટિંગ કાર્ડ પાછળ વાપરતાં હોય છે. સૌથી વધારે ફોન પણ આ જ દિવસે થતા હોય છે, પણ સૌથી વધારે collect calls ફાધર્સ ડે ઉપર થતા હોય છે.

માછલી થી માંડી ને મનુષ્ય સુધી કુદરતે આપેલી ફરજિયાત માતૃત્વની જવાબદારી જગતની તમામ માતાઓ નિભાવતી જ હોય છે, પણ પિતૃત્વનો આનંદ ખાલી મનુષ્યો જ માણતાં હોય છે. માનવ સમાજમાં માતાનું મહત્વ તો છે  જ પણ પિતાનું મહત્વ જરાય ઓછું નથી હોતું.

પાપા અમે તમને ફાધર્સ ડે વખતે શુભેચ્છાઓ વ્યક્ત કરીશું, પણ તમારા ખર્ચે..

ડાર્વિન સામે બોલાય નહી ? બોલાય. કેમ ના બોલાય ?

th=-ડાર્વિન સામે બોલાય નહી ? બોલાય. કેમ ના બોલાય ?

ઘણાં મિત્રોની માનસિકતા ઉત્ક્રાંતિમાં માનવા જ તૈયાર હોતી નથી. ઉત્ક્રાંતિ તો હરપળે ચાલું જ હોય છે પણ આપણને દેખાતી નથી. આપણે મહામાનવો અને ક્ષુદ્ર વાનર આપણો પૂર્વજ કઈ રીતે હોઈ શકે ? જે મનુષ્યોએ ભવ્ય ગ્રંથો તૈયાર કર્યા હોય, વેદોની રચના કરી હોય, ખગોળનું અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, શૂન્યનું સર્જન કર્યું હોય, ગણિત અને ભાષાની રચના કરી હોય સૂર્ય અને ચન્દ્રગ્રહણની સચોટ આગાહી કરી હોય એ મનુષ્ય શું વાનરનો વંશજ હોઈ શકે ? આપણાં મનમાં આવા અનેક સવાલો ઊઠતા હોય છે. એવું લાગતું હોય છે કે માનવી કોઈ સ્વર્ગ જેવા ઉપગ્રહમાંથી અહીં ભૂલો પડી ગયો હશે. એનું વિમાન બગડ્યું હશે અને કમનસીબે અહીં પૃથ્વી ઉપર રોકાઈ જવું પડ્યું હશે.

ઉત્ક્રાંતિનો પ્રોસિજર ખૂબ ધીમો હોય છે. ઘણાં મિત્રોના મનમાં અનેક સવાલો ઊઠતાં હોય છે. સવાલો ઊઠવા જ જોઈએ એનાં વગર જ્ઞાન આગળ કઈ રીતે વધે ? વાનરમાંથી ઉક્રાંતિ થઈ માનવ બન્યો એટલે દર વખતે જરૂરી ના હોય કે દરેક માનવ વાનરમાંથી પેદા થાય. આપણે એવું વિચારીએ કે હવે વાનર રહેવા જ ના જોઈએ બધા માનવ બની જાય તેવું પણ ના બને. કરોડો અબજો વર્ષે ધીમે ધીમે જીવો વિકસતા હોય છે. પુંછડીવાળા વાનરોમાંથી કશું બન્યું હશે કોઈ જિનેટિક ફેરફાર મ્યુટેશન થયું હશે કે એક વાનર પ્રજાતિમાંથી જરા જુદી જાતનો પૂંછડી વગરનો વાનર પેદા થયો હશે, એટલે જરૂરી નથી કે દરેક વખતે અને દરેક વાનર પેટાજાતિમાંથી પૂંછડી વગરના વાનરો પેદા થવા જ જોઈએ.

એક સાદો દાખલો આપુ તો સમજવામાં સરળ રહેશે. જૂનાગઢના નવાબના અંગત બગીચામાં ‘જમાદાર’ નામની કેરીનો એક આંબો હતો. એકવાર એની એક ડાળી ઉપર જરા જુદી જાતની કેરી બેઠી હતી. નવાબે એ ડાળ ઉપરની તમામ કેરીઓ જુદી તારવવાનો હુકમ આપ્યો. કેરી બહુ સરસ મીઠી હતી, એની સોડમ પણ અલગ જ હતી. કોઈ કુદરતી મ્યુટેશન થયું હોવું જોઈએ. એ કેરીના ગોટલા ભેગાં કરી ફરી વાવીને એની જાત ફેલાવવામાં આવી તે આજની જગમશહૂર ‘કેસર’ કેરી. હવે દર વખતે ‘જમાદાર’ કેરીમાંથી જ કેસર પેદા કરવી થોડી પડે ? અને જમાદાર કેરી તો રહી જ અને કેસર નવી બની. વાનર તો રહ્યો જ અને એમાંથી માનવ મળ્યો. હવે જરૂરી નથી કે જમાદાર કેરીના તમામ ગુણ કેસરમાં જોઈએ જ. વાનર ચાર માળ પલકમાં ચડી જાય, ઝાડ ઉપર કુદકા મારે તો માનવે જરૂરી નથી વાનરવેડા કરવા જ પડે, કરતા હોય છે તે વાત જુદી છે.

thCAEH5X03માનવ એવરેસ્ટ ચડે છે વાનરો નથી ચડતા. કૂતરાં કરતાં ચિમ્પૅન્ઝી પાસે ત્રણ ગણું મોટું બ્રેન છે અને ચિમ્પૅન્ઝી કરતાં માનવ પાસે ત્રણ ગણું મોટું બ્રેન છે. માનવ પ્લેન શોધે છે વાનરો નહી ભલે એક અગાસી ઉપરથી બીજી અગાસી પર હવાઈપ્રવાસ કરતાં કૂદી જતાં હોય. હવે આપણે અગાસીઓ કૂદવા જઈએ તો પ્લેન ક્યારે શોધીશું ?

એક બુદ્ધિશાળી મિત્રના મનમાં સવાલ ઊઠ્યો કે સર્પમાંથી કે હાથીમાંથી કેમ મનુષ્યો પેદા ના થયા ? એમને અહીં દેખાયું નહી કે ઉત્ક્રાંતિને કારણે સર્પ જેવાં જીવોમાંથી સસ્તન પ્રાણીઓ પેદા થયાં અને એમાંથી જ ઉત્ક્રાંતિ થઈને વાનર જેવાં બુદ્ધિશાળી પ્રાણી પેદા થયાં. સર્પ અને માનવ વચ્ચે અગણિત કડીઓ પેદા થઈ એને જ તો ઉક્રાંતિ કહેવાય. સર્પમાંથી જ માનવ પેદા થયો છે પણ સર્પ અને માનવ વચ્ચેની અસંખ્ય કડીઓ જોવાની દરકાર આપણે કરતાં નથી. સર્પમાંથી સીધો માનવી પેદા થાય તો ઉત્ક્રાંતિ ના કહેવાય. બ્રેન પણ જુઓ હજુ આપણી પાસે સર્પનું બ્રેન પણ છે અને આદિમ પ્રાણીઓનું આદિમ મૅમલ બ્રેન પણ છે. આપણે રેપ્ટાઇલ બ્રેન ઉપર મૅમલ બ્રેન એની ઉપર કૉર્ટેક્સ ધરાવીએ છીએ.

મધર નેચરની કરામત જુઓ નવી જાત પેદા કરે છે પણ જુની જાત સાથે સાથે જાળવી રાખે છે. ઉત્ક્રાંતિ વાનરમાંથી માનવ પેદા કરે પણ વાનરનો નાશ નથી કરતી. એક બાપના બે દીકરા હોય એક જરા જુદી જાતનો ખોડીલો પેદા થાય અને એક એના બાપ જેવો અદ્દલ હોય. હવે બાપ જેવા અદ્દલ દીકરાની જાત પણ કુદરત જાળવી રાખે અને પેલાં ખોડીલાંની જાત પણ આગળ વધે. હવે આ ખોડીલો આગળ જતાં વિશિષ્ટ પ્રકારનો ગણાય એવું માનવમાં સમજવું. બાપ જેવો અદ્દલ એટલે ચિમ્પૅન્ઝી ગણો.. અને ખોડીલો દીકરો માનવ સમજો. ૬-૮ મિલ્યન વર્ષ પહેલાં આ પૃથ્વી ઉપર પૂંછડી વગરના એપ્સ નો દબદબો હતો. મોટાભાગની નાશ પામી ગઈ. ફક્ત ચાર-પાંચ જ બચી છે. ગરિલા(Gorilla), ગિબન(Gibbon), ઉરાંગઉટાંગ અને ચિમ્પૅન્ઝી-બોનોબો, ચિમ્પૅન્ઝી અને બોનોબો કાકા-બાપાના ભાઈઓ જેવાં છે. પાંચમી કે છઠ્ઠી ગણો તો આપણે મહામાનવો. આપણે નસીબદાર છિયે કે આમાંની એક ગિબન આપણાં આસામના જંગલોમાં છે.

૬૦ લાખ વર્ષ જુનું એક ફોસિલ મળ્યું છે, એનો અભ્યાસ કરતાં જણાયું કે કોઈ જિનેટિક ખોડ આવતાં એ પ્રાણી બીજાં પ્રાણીઓની જેમ ચાર પગે ચાલવા અસમર્થ બન્યું તે આજના માનવીનો પૂર્વજ હતું. ઉત્ક્રાંતિએ કોઈ પ્રાણી બે પગે ચાલે તેની ભવિષ્યની યોજના રૂપે સંપૂર્ણ ચાર પગે ચાલતા વાનરો કરતાં ચિમ્પૅન્ઝી જેવાં પ્રાણીઓને નકલ વૉકિન્ગ કરતાં કરી દીધાં જ હતાં. ચિમ્પૅન્ઝી જેવાં પ્રાણીઓ આગળના બે પગ બીજાં પ્રાણીઓ જેવા નથી મૂકતા અને થોડો સમય બે પગે ઊભા થઈને પણ ચાલે છે.

૩૦ લાખ વર્ષ જુનું લુસી નામનું ફોસિલ મળ્યું છે જે અર્ધ માનવી અર્ધ વાનર છે. આ ઉત્ક્રાંતિ જ છે. પણ જે જાતો ફિટ અને ફ્લેક્સિબલ રહેતી નથી તેનો નાશ પણ થઈ જાય. એવી તો કેટલીય જાતો સંપૂર્ણ નાશ પામી જ છે. લુસી જેવી જાત આજે જોવા ના પણ મળે. મળેલા ફોસિલ આધારે વૈજ્ઞાનિકોનું માનવું છે કે જુદી જુદી જાતની ચાર જાત માનવોની આ પૃથ્વી ઉપર હતી. જે કદાચ જુદી જુદી જાતના વાનરોમાંથી ઉત્ક્રાંતિ પામી હશે. એમાંથી નિએન્ડરથલ તો ઉત્તર ગોળાર્ધના કાતિલ ઠંડા હવામાનમાં જીવવા ટેવાએલા હતાં. જર્મનીની એક ખીણમાંથી ૩૦૦ હાડપિંજર મળ્યાં છે એને નિએન્ડરથલ વેલી કહે છે. પણ હવે નિએન્ડરથલ માનવી રહ્યા નથી.

મહકાય મેમથ હાથીઓ આજે રહ્યા નથી પણ એના પૂરાવા છે જ, તેમ બકરી જેવડા હાથીઓના ફોસિલ પણ મળ્યા છે. વેંતિયા માનવીની વાર્તાઓ ખોટી નથી. ઇન્ડોનેશિયામાંથી એક બાળકનું મનાતું ફોસિલ મળ્યું જે પુખ્ત ઉંમરની સ્ત્રીનું નીકળ્યું હતું. મોટામસ ડાયનોસોર તો નાશ પામી ગયા પણ નાના ડાયનોસોર અને હાલના પક્ષીઓની વચ્ચેની કડીરૂપ પાંખો વિકસી હોય તેવાં ડાયનોસોરના ફોસિલ પણ મળ્યાં જ છે. અમુક મૂરખો ઉત્ક્રાંતિના આ જ પુરાવાઓનો ઉત્ક્રાંતિ ખોટી છે તેવું સાબિત કરવા કરતા હોય છે ત્યારે ખૂબ હસવું આવે છે.

આ વિજ્ઞાન જગતમાં તમે કોઈ થીઅરી મૂકો તો લાખ સાબિતીઓ આપવી પડતી હોય છે. આઈનસ્ટાઈન એક સમીકરણ વિજ્ઞાન જગત આગળ મૂકે તો હજારો વૈજ્ઞાનિકો એને ખોટું પાડવા ખાઈખપુચીને એની પાછળ પડી જતાં હોય છે. એકલાં હિટલરે હજાર-પંદરસો વૈજ્ઞાનિકો આઈનસ્ટાઈનને ખોટો પાડવા રોકેલા જ હતા. પણ વિજ્ઞાન જગત એ બાબતે પ્રમાણિક હોય છે. એ લોકોનું કશું વળ્યું નહી, ત્યારે આઈનસ્ટાઈન બોલ્યા હતા કે મારો સિદ્ધાંત ખોટો હોત તો એને ખોટો પાડવા એક જ વૈજ્ઞાનિક કાફી હોત.

ડાર્વિન સામે બોલાય નહી ? બોલાય. કેમ ના બોલાય ? કોઈ બોલ્યું નહી હોય તેવું માનો છો ? આ કોઈ બાવાઓનું જગત છે કે બાવાજી એ કહ્યું એટલે માની લીધું ? જા બચ્ચા સૂરજદાદા કો એક લોટા જળ ચડા દેના મેરા વચન હૈ તેરા કલ્યાણ હો જાવેગા, તાળીઓ પાડી બાવાજીના ગંદા ચરણે પડી મનમાં ખુશ થતાં ભાઈ ચાલી નીકળ્યા કે હવે તો એક લોટા ટાંકીના પાણીને બદલે આખું રાજપાટ મળી જવાનું. અરે ! મૂરખ તારા લાખો પેસિફિક અને કરોડો હિંદ મહાસાગર એક પલમાં સૂરજદાદા આગળ બાષ્પ બની જાય તેની નજીક જાય તો. ગરમ વસ્તુ ઠંડી પાડવા આપણે એના ઉપર પાણી રેડીએ છીએ, દાઝી જવાય તો એના પર પાણી રેડીએ એમ બાવાજીના મનમાં સૂર્યને એક લોટા જળમાં ઠંડા પાડી દેવાય તેવું હશે.

પ્રૉબ્લેમ એ છે કે આપણે કહેવાતા ધર્મના જગતમાં એના ઠેકેદારોના મૂર્ખામી ભર્યા ફતવાઓ સામે બોલી શકતા નથી એટલે લાગે કે વિજ્ઞાન જગતમાં ડાર્વિન કે આઈનસ્ટાઈન જેવા લોકો સામે કોઈ બોલતું નહી હોય કે બોલ્યું નહી હોય. ડાર્વિન એની થીઅરી બહાર મૂકતાં ગભરાતો હતો. ચર્ચ તો સામે ઊભું જ હતું પણ બીજા વૈજ્ઞાનિકો પણ એને ખોટી પાડવા તૈયાર ઉભા હતાં. વૈજ્ઞાનિકોના ગળા રહેંસી નાખવા ચર્ચ જાણીતું હતું એ તમને ક્યાં ખબર છે ? બાવાજી બૂટી સુંઘાડે અને લોકો માની જાય તેવું વિજ્ઞાનવિશ્વમાં હોતું નથી. આપણા જેવા બાલિશ નહી પણ નક્કર સવાલો લઈને બીજા વૈજ્ઞાનિકો ઊભા હોય છે. ડાર્વિને તૂત ચલાવ્યું હોત તો વૈજ્ઞાનિકોએ ક્યારનું ફેંકી દીધું હોત.

અરબો દ્વારા આપણું ગણિત પશ્ચિમ પહોચ્યું ત્યારે ૧૩મી સદીમાં ચર્ચે શેતાનનું કામ છે કહી બૅન કરી દીધેલું. અરબસ્તાનમાં પહેલીવાર ટેલિફોનના તારનું જોડાણ કરવામાં આવ્યું ત્યારે મુલ્લાઓએ ધર્મ વિરુદ્ધ છે કહી જોરદાર વિરોધ કરેલો. હવે પયગંબરના સમયમાં ટેલિફોન હતા પણ નહી કે એની વિરુદ્ધ કશું લખ્યું હોય. સુલતાન ઇબ્ન સઉદને સરસ મજાની યુક્તિ સૂઝી. તેમણે ટેલિફોન પર કુરાનના પાઠનું વાંચન ચાલુ કરાવ્યું અને એક જાહેરસભા બોલાવીને પ્રચાર કર્યો કે જે વ્યવસ્થા કુરાનનો પાક સંદેશો લોકો સુધી પહોંચાડતી હોય તે ધર્મ વિરુદ્ધ ગણી શકાય નહી.

પ્રાચીન હિંદુ મનીષીઓ પાસે ઉત્ક્રાંતિની સમજ હતી. એમણે પ્રતીક રૂપે જે અવતારોની કલ્પના કરી છે તેમાં ઇવલૂશનની સમજ ભારોભાર દેખાય છે. સમુદ્રમાં જીવન શરૂ થયું છે માટે પાલનહાર પ્રતીક વિષ્ણું સમુદ્રમાં વિરાજમાન છે. પ્રથમ ભગવાન માછલી હતા તેવું ઉત્ક્રાંતિની સમજ વગર ના કહી શકો. પહેલો વ્યવસ્થિત સજીવ માછલી છે માટે મત્સ્યાવતાર છે. બીજો વ્યવસ્થિત સજીવ કાચબો લાગ્યો તો કૂર્માવતાર ગણ્યો. ડાયનોસોર જોયા નહી કારણ કરોડો વર્ષો પહેલાં નાશ પામી ગયાં હતાં બાકી એનો પણ કોઈ અવતાર જરૂર હોત. પછી સસ્તન પ્રાણી વરાહ આવ્યું, અર્ધપશું અર્ધ માનવી નૃસિંહ અવતાર થયો. એ ભારતીય બુદ્ધિશાળી મહાપુરુષોના બ્રેનમાં સિમૅન્ટિક(Semantic memory) અને પ્રોસિજરલ(Procedural memory) મેમરી કાયમ હતી માટે આવી અવતારોની કલ્પના કરનાર ભારતીય ડાર્વિનદાદા ને નમસ્કાર.

આપણને જે ઉંમરે ચડ્ડી પહેરતાં નહોતી આવડતી તે ઉંમરે આપણા પૌત્ર-પૌત્રી આઇફોન રમે છે અને કમ્પ્યૂટર ફેરવે છે તેમાં ઉત્ક્રાંતિ કેમ દેખાતી નથી ? સેન્ટિમીટર કે મિલીમિટરના હજારમાં ભાગ જેટલા ગણો, આ કમ્પ્યૂટર સાથે રમતાં બાળકોનાં બ્રેન આપણાં કરતાં જરૂર મોટા હશે.

ઉત્ક્રાંતિનો લાખો વર્ષનો અત્યંત ધીમો પ્રોસિજર આપણી ૬૦-૭૦ વર્ષની જીંદગીમાં જોવાની આશા રાખવી મૂર્ખામી છે અને તે જોવા ના મળે તો એને ખોટી કહેશો તો ઉત્ક્રાંતિ ક્યાં બંધ થઈ જવાની છે ?

સંસદ ભવનમાં આપણા આદરણીય પ્રતિનિધિઓ જે વ્યવહાર કરે છે તે જોઈને નથી લાગતું કે ખરેખર આપણે વાનરના વંશજ છિયે ? હાહાહાહાહાહા ! !