Category Archives: રાજકારણ

ખિલાફત ચળવળ

ખિલાફત ચળવળ

ખિલાફત ચળવળ વિષે ગાંધીજી ઉપર સદૈવ બહુ માછલાં ધોવાય છે; કે ગાંધીજીએ ખિલાફત ચળવળને ટેકો આપેલો, મુસલમાનોને ટેકો આપેલો, વગેરે વગેરે. મહમંદ અલી જિન્નાહ ખિલાફત મૂવમેન્ટને ટેકો આપવાના મૂડમાં નહોતા. ગાંધીજી પર આ બાબતે માછલાં ધોતાં પહેલાં ખિલાફત વિષે, ખિલાફત ચળવળ વિષે અને ખાસ તો ખલિફા વિષે જાણવાની બહુ જરૂર છે એ સિવાય કોઈના પર આક્ષેપો કરવા નકામું છે. નવી પેઢીને શું જૂની પેઢીના લોકોને પણ ખાસ આ બાબતે ખબર નહિ હોય. ખલિફા કોને કહેવાય તે ખબર છે? એના માટે તુર્કસ્તાન જવું પડે. મહાન ઓટોમન સામ્રાજ્યનો ઇતિહાસ ફંફોળવો પડે.

તમને હાલના ગુજરાતના ગ્રેટ સિંગર ઓસમાન મીરનું નામ યાદ હશે જ. તો સાંભળો દક્ષીણ પૂર્વ યુરોપ, પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકા એમ ત્રણ ત્રણ ખંડવિભાગ ઉપર એક સમયે જેનું આપખુદ રાજ ચાલતું હતું તે ગ્રેટ ઓટોમન સામ્રાજ્યનો પહેલો સ્થાપક ઓઘુઝ ટર્કીશ ટ્રાઇબલ લીડર ઓસમાન પહેલો હતો. ઓટોમન એટલે ઓસમાનઅલીનાં ફોલોઅર. ૧૨૯૯મા એણે એની શરૂઆત કરી નાખી હતી. ૧૩૫૪મા યુરોપમાં ઘૂસી ગયેલા. ૧૬મી અને ૧૭મી સદીમાં સુલેમાન ધ મેગ્નિફીસન્ટનાં જમાનામાં તો ઓટોમન સામ્રાજ્ય મલ્ટીનેશનલ, બહુભાષીય, દક્ષીણ પૂર્વ યુરોપ, પશ્ચિમ એશિયા, સેન્ટ્રલ યુરોપ, પૂર્વ યુરોપ, ઉત્તર આફ્રિકા બધે ફેલાઈ ચૂક્યું હતું. તમારી આંખો ફાટી જશે વાંચીને કે ૧૪૫૧માં ઓટોમન સામ્રાજ્યનો વિસ્તાર ૫,૫૬,૭૦૦ ચોરસ કીલોમીટરમાં ફેલાયેલો હતો, ૧૫૨૦માં પુરા ૩૨ લાખ ચોરસ કિલોમીટર હતો જ્યારે ૧૬૮૩મા પુરા બાવન લાખ ચોરસ કિલોમીટર હતો.

ભારતમાં ખીલજી વંશની સ્થાપના કરનાર જલાલુદ્દીન ખીલજી મૂળ તુર્ક હતો. એના પછી આવેલા તુઘલક પણ મૂળ તુર્ક જ હતા. આખી દુનિયાને ઇસ્લામમાં ફેરવી નાખવાની જેહાદ લઈને નીકળેલા આ ઓટોમન સામ્રાજ્યના સર્વોપરી સુલતાનો પોતાને ખલિફા કહેતા હતા અને આખી દુનિયાના મુસલમાનોનું પવિત્ર પ્રતિનિધિત્વ જાતે જ લઈને બેઠેલા હતા. પુરા છસો વર્ષ ઓછા કહેવાય? હા ! તો પુરા છસો વર્ષ પોતાનો ડંકો વગાડે રાખતા આ સામ્રાજ્યનો ખુદનો ડંકો ૧૯મી સદીમાં વાગી ચૂક્યો હતો. ૧૮૧૧મા વહાબી આરબોએ ઓટોમન સુલતાન સામે બળવો કરેલો. ૧૮૨૧માં ગ્રીક લોકોએ સુલતાન સામે યુદ્ધ જાહેર કરેલું. ૧૮૩૦માં ફ્રેંચ લોકોએ અલ્જેરિયા પર હુમલો કર્યો. સુલતાન મેહમુદ બીજા ઉપર મહંમદ અલીએ પોતે બળવો પોકારેલો, એને રોકવા રશિયાના સમ્રાટ નિકોલસની મદદ લેવી પડી એમાં મહંમદ અલીને વલી જાહેર કરી આજના સિરિયા અને લેબેનોન આપી દેવા પડ્યા. સતત યુદ્ધોમાં રત ઓટોમન સામ્રાજ્ય અંદરથી ખોખલું થઈ રહ્યું હતું. ૧૯૦૮માં યંગ ટર્ક રેવલૂશન ચાલુ થયું, એમને રાજાશાહી ખપતી નહોતી. ૧૯૧૧માં ઇટાલો-ટર્કીશ વોર, ૧૯૧૨માં બાલ્કંસ વોર, એમને પહેલા વિશ્વયુદ્ધ સુધી ખેંચી ગયું. ઓકટોબર ૧૯૧૪માં રશિયાન બ્લેક સમુદ્ર કાંઠે આશ્ચર્યજનક હુમલો કરી ઓટોમન સામ્રાજ્યે એની પડતી નિશ્ચિત કરી નાખી કારણ રશિયા સાથે ફ્રાંસ, બ્રિટનનું ગઠબંધન હતું. ૧૯૧૫માં ૧૫ લાખ અર્મેનિયનનાં સામૂહિક નરસંહાર કરવામાં આવેલો. મુસ્તુફા કમાલ પાશાની આગેવાનીમાં ટર્કીશ નેશનલ મુવમેન્ટ ચાલેલી અને એ લોકો ટર્કીશ વોર ઓવ ઈન્ડીપેન્ડન્સ(૧૯૧૯-૧૯૨૩) જીતી કોન્સ્ટન્ટીનોપોલ કબજે કરવામાં સફળ થયા.

૧ નવેમ્બર ૧૯૨૨ મહાન ઓટોમન સામ્રાજ્યને નાબુદ કરવામાં આવ્યું, છેલ્લા સુલતાન ખલિફા મેહમુદ છઠ્ઠા ૧૭ નવેમ્બર ૧૯૨૨માં દેશ છોડી માલ્ટા ચાલ્યા જાય છે. રિપબ્લિક ઓવ ટર્કીની સ્થાપના ૨૯ ઓક્ટોબર ૧૯૨૩મા નવી રાજધાની અંકારામાં થાય છે. ૩ માર્ચ ૧૯૨૪માં ખિલાફત નાબૂદ કરવામાં આવે છે.

હવે ભારતમાં ચાલેલી ખિલાફત ચળવળ તરફ નજર માંડીએ. ૧૯૧૯ થી ૧૯૨૪ સુધી ચાલેલી ખિલાફત ચળવળને ભારતીય મુસ્લિમોની ચળવળ કહેવામાં આવે છે. ખિલાફત ચળવળ બ્રિટીશ ઇન્ડીયાના મુસલમાનોએ શૌકતઅલી, મોહંમદઅલી જૌહર અને અબુલ કલામ આઝાદની આગેવાનીમાં શરુ કરલી ચળવળ હતી, એનો મુખ્ય ઉદ્દેશ ભાંગી પડેલા ઓટોમન સામ્રાજ્યના ખલિફાની ખિલાફતને બચાવવાનો પુનઃસ્થાપિત કરવાનો હતો. ખલિફા સુન્ની મુસલમાનોના એકમાત્ર ધાર્મિક વડા કહેવાતાં હતા. ધર્મ ક્યારેક દેશ કરતા મોટા સમૂહનું પ્રતિનિધત્વ કરતો હોય છે એનું આ ઉદાહરણ છે. ક્યાં ભારત અને ક્યાં તુર્કસ્તાન?

ખિલાફત ચળવળનાં મૂળિયાં તો ઓટોમન સુલતાન અબ્દુલ હમીદ બીજાએ ૧૯મી સદીના અંતમાં જમાલુદ્દીન અફઘાનીને ભારત મોકલીને નાખી દીધેલાં. પશ્ચિમી લોકતાન્ત્રિક આધુનિક સભ્યતાના આક્રમણ સામે એમને એમની રૂઢીચુસ્ત ખિલાફત બચાવવી હતી. ખાસ તો બ્રિટનનો ખોફ વધતો જતો હતો. હવે ભારતમાં બ્રિટીશરાજ હતું અને ભારતીયોને એમાંથી મૂક્ત થવું હતું. તો ભારતના મુસ્લિમોની બ્રિટીશરાજ વિરુદ્ધની લાગણીનો ઉપયોગ પણ કરી શકાય. વળી ખલિફા પોતાને દુનિયાના તમામ સુન્ની મુસ્લિમોનાં ધાર્મિક વડા માનતા હતા. લોકશાહી ઈચ્છતા યુવાન તુર્કોની આગેવાની મુસ્તફા કમાલ પાશાએ લીધેલી હતી તેમને પણ દબાવવા હતા. આમ ઓટોમન સુલતાનના જાસામાં ભારતના મુસ્લિમો આવી ગયા અને બ્રિટીશ ભારતમાં તુર્કસ્તાનના ખલિફાની ખિલાફત બચાવવા ચળવળ શરુ થઈ. ઓક્સફોર્ડમાં ભણેલા મુસ્લિમ જર્નાલીસ્ટ મૌલાના મહમદઅલી એમાં તો ચાર વર્ષ જેલમાં રહેલાં.

મહંમદઅલી, એમના ભાઈ મૌલાના શૌકતઅલી, મુખતાર એહમંદ અન્સારી, હકીમ અજમલખાન, મૌલાના અબુલ કલામ આઝાદ અને બીજા આગેવાનોને ઓલ ઇન્ડિયા ખિલાફત કમિટીની રચના લખનૌમાં કરેલી. ૧૯૨૦માં આ લોકોએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે ગઠબંધન કરેલું. ગાંધીજીને આ લોકોએ શાંતિપૂર્વક સવિનય કાનૂનભંગ અને અસહકારની ચળવળમાં ભાગ લેવાનું વચન આપેલું અને એ બહાને સ્વરાજ અને ખિલાફત માટે બ્રિટીશરાજ સામે લડવામાં કોંગ્રેસને સાથ આપવાનું ઠરાવેલું. ગાંધીજી અને કોંગ્રેસનો હેતુ ખિલાફત ચળવળને ટેકો આપવાનો મતલબ એટલો જ હતો કે એ બહાને મુસ્લિમો સ્વરાજની લડાઈમાં પૂરી રીતે જોડાઈ જાય. શરૂમાં આ રીતે હિંદુ મુસ્લિમ એક થઈને અસહકાર, સવિનય કાનૂનભંગ, સ્કૂલો કૉલેજોનો બહિષ્કાર, વિદેશી માલની હોળી સરકારે આપેલા ખિતાબો પાછા આપવા, વગેરે વગેરે પ્રકારે બ્રિટીશરાજ સામે એક થઈને લડ્યા. એમાં ગાંધીજી, અલીબ્રધર્સ અને બીજા લોકો જેલમાં પણ ગયા.

આમાં મુસ્લિમ નેતાઓમાં ખિલાફત માટે લડતાં, મુસ્લિમ લીગ માટે લડતાં અને કોંગ્રેસ માટે લડતાં એવા ત્રણ ભાગ થઈ જતાં ખિલાફત મૂવમેન્ટ નબળી પડવા માંડી અને છેવટે મુસ્તુફા કમાલે ટર્કીમા બિનસાંપ્રદાયિક લોકશાહી સ્થાપી દીધી, હવે ખલીફા જ ના રહ્યાં તો ખિલાફત ચળવળનું ધબાય નમઃ થઈ ગયું. હવે ખિલાફતમાંથી નવરા પડેલા મુસ્લિમ નેતાઓએ પોતપોતાના રસ્તા શોધી લીધા. સૈઇદ અતાઉલ્લાશાહ બુખારીએ મજલિસ-એ-અહરાર-એ-ઇસ્લામની સ્થાપના કરી, ડૉ. અન્સારી, હકીમ અજમલખાન અને મૌલાના આઝાદ ગાંધીજી અને કોંગ્રેસના સબળ ટેકેદાર બની રહ્યા, અલી બ્રધર્સ મુસ્લિમ લીગમાં ઘૂસી ગયા અને અલગ પાકિસ્તાનની માંગણીના પ્રખર ટેકેદાર બન્યા.

એક રીતે જોઈએ તો ખિલાફતની ચળવળ ઓટોમન સામ્રાજ્યના આપખુદ ખલિફાની સુલતાની બચાવવા માટેની ચળવળ હતી એટલે તો મહંમદઅલી જિન્નાહ એના વિરોધી હતા. કોંગ્રેસ અને ગાંધીજીનો સ્વાર્થ એ બહાને ભારતના મુસ્લિમો સ્વતંત્રતા માટેની લડાઈની મુખ્યધારામાં જોડાઈ જાય એટલો હતો. ખિલાફતની આફત પાકિસ્તાનના સર્જન માટે એક કારણ બની હોઈ શકે એવું ઘણા માનતા હશે એટલે આજે હજુય ગાંધીજીનાં માથે માછલાં ધોવાય છે. પણ મારું ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન એવું કહે છે કે માનવી સ્ટેટ્સ સિકીંગ એનિમલ છે અને તે કોઈપણ ભોગે પ્રથમ આવવા ઈચ્છતો હોય છે એટલે ખિલાફતની ચળવળ ના થઈ હોત તો પણ જિન્નાહ જેવા નેતાઓ એમની નંબર વન બનવાની અપેક્ષા પૂરી કરવા અલગ પાકિસ્તાન રચવાના પક્ષમાં રહેવાના જ હતા.

:- Bhupendrasinh Raol, South Abington, PA, USA. October 24, 2019

કાશ્મીર કાંટે કી કલી

kashmirકાશ્મીર કાંટે કી કલી

કાશ્મીર એક સમયનું પૃથ્વી પરનું સ્વર્ગ, પાછલા ત્રણ દાયકામાં આશરે ૪૨૦૦૦ માનવોનાં રક્ત વડે સિંચાયેલું ધર્માંન્ધાતાની લોહીયાળ લોન ઉપર ખીલેલું રક્તપુષ્પ બની ચૂકેલું છે.

એવું કહેવાય છે કે કશ્યપ ઋષિએ અહિ લોકોને વસાવેલા. કશ્યપ-મીર એટલે કશ્યપ સરોવર અથવા કશ્યપ-મેરુ એટલે કશ્યપ પર્વત પરથી કાશ્મીર નામ પડ્યું હોવું જોઈએ. આર્યો બહારથી આવેલા એ થીયરી ઘણા બધા માનતા નથી પણ મને લાગે છે કશ્યપ નામના આર્યોના એક સમૂહના વડાનાં પૂર્વજો રશિયાની દક્ષિણે કે યુરોપથી આવીને હાલના અફઘાનિસ્તાન પછી ભારતમાં પ્રવેશ્યા હોય અને પછી કાળક્રમે નવી ભૂમિની શોધમાં એમના વારસદાર કશ્યપે કાશ્મીરમાં એમની ટોળીને વસાવી હોય. સ્વાભાવિકપણે ઠંડાગાર પ્રદેશોમાંથી આવેલા આર્યોને કાશ્મીર ભાવી જાય રહેવા માટે એમાં કોઈ નવાઈ નથી.

કાશ્મીર હિન્દુઓના શૈવ સંપ્રદાય અને બુદ્ધ ધર્મનું મહત્વનું કેન્દ્ર રહેલું. ચીનમાં બુદ્ધ ધર્મ વાયા કાશ્મીર ગયો હોય એમાં શંકાનું કારણ ખાસ લાગતું નથી. કાર્કોટ અને ઉત્પલ જેવા પાવરફુલ હિંદુ સામ્રાજ્યોના સમયમાં કાશ્મીર સાહિત્ય, સંગીત, નાટ્ય, કવિતા, કળા, કારીગરી, હિંદુ ફિલોસોફી, મીમાંસા વેદાંત, વગેરેનું મહત્વનું કેન્દ્ર રહેલું. અભિનવ ગુપ્તા જેવો ગ્રેટ મલ્ટી ટેલેન્ટેડ તત્વજ્ઞાની કાશ્મીર ઘાટીમાં જન્મેલો.

ભારતમાં ઇસ્લામનું આગમન થઈ ચૂક્યું હતું એવામાં ઈ.સ. ૧૩૧૩મા શાહ મીર કાશ્મીરના હિંદુ રાજા સહદેવના દરબારમાં કામે લાગ્યો. સહદેવ પછી એના ભાઈ ઉદયનદેવના મૃત્યુ પછી શાહ મીરે પોતે જ ગાદી સંભાળી લીધી. કાશ્મીરનો આ પહેલો મુસ્લિમ શાસક. એના પછી મુઘલોનું શાસન આવ્યું. જહાંગીર અને શાહજહાંનાં સમયમાં કાશ્મીર વધુ ને વધુ વિકસ્યું. થોડો સમય અફઘાન દુરાનીનું રાજ રહ્યું પછી આવ્યા શીખ મહારાજા રણજીતસિંહ મેદાનમાં. શીખ સામ્રાજ્ય છેક તિબેટ સુધી ડંકો વગાડતું હતું. ગુલાબસિંહ અને જોરાવરસિંહ કહલુરીઆએ રાજોરી, કિષ્ટવર, સુરુ અને કારગીલ, લડાખ, બાલ્ટીસ્તાન, બધું કાશ્મીર ઘાટી સાથે જોડી દીધું. શીખોના શાસનમાં કાશ્મીર ખૂબ સમૃદ્ધ બન્યું અને એના ઉત્પાદનોને આખી દુનિયામાં ઓળખ મળી.

શીખ સામ્રાજ્યના પતન પછી કાશ્મીર અંગ્રેજોનું પ્રિન્સલી સ્ટેટ બન્યું. લડાખ તિબેટીયન સંસ્કૃતિ ધરાવતું બૌદ્ધિસ્ટ હતું, જમ્મુમાં હિંદુ, શીખ અને મુસ્લિમો હતા, કાશ્મીર ઘાટીમાં સુન્ની મુસ્લિમો સાથે થોડા હિન્દી બ્રાહ્મણો હતા જેને આપણે કાશ્મીરી પંડિત કહીએ છીએ. બાલ્ટીસ્તાનમાં વંશીય રીતે લડાખી પણ ધાર્મિક રીતે શિયા ઇસ્લામી લોકો રહે છે. ગિલગીટ એજન્સીમાં બધા ભેગાં પણ ઇસ્લામના શિયા પંથી, પુંચમાં મુસ્લિમો ખરા પણ વંશીય રીતે એથનીકલી કાશ્મીર ઘાટી કરતા જુદા છે.

આઝાદી સમયે કાશ્મીરના મહારાજાને નેપાળની જેમ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઓળખ મેળવવી હતી પણ ભારતના એકેય રજવાડા પાસે પોતાનું મજબૂત લશ્કર ક્યા હતું? રાજાઓના પોતાના અંગરક્ષક દળ હોય કે નાનીમોટી પોલીસ હોય બાકી સૈન્યના નામે કશું મળે નહિ. અંગ્રેજોએ રાખવા જ દીધું નહોતું. એટલે કાંતો પાકિસ્તાન સાથે જોડાઓ કે ભારત સાથે કોઈ બીજો વિકલ્પ હતો જ ક્યા? કાશ્મીરના મહારાજા હરિસિંહ નાછૂટકે ભારત સાથે જોડાયા. પછીનો ઇતિહાસ આપણે એટલો બધો જાણીએ છીએ કે એટલું તો ઇતિહાસ ખૂદ નહિ જાણતો હોય. એટલે એ બધી પળોજણમાં પડવું નથી. એ સમયે મહારાજા હરિસિંહને, નહેરુજીને, સરદારને જે યોગ્ય લાગ્યું હશે તે કર્યું હશે એમાં કોઈને દોષ દેવો હવે નકામો છે. રાજા-મહારાજાઓને પણ વિશિષ્ટ અધિકારો આપેલા જેતે સમયે. સાલિયાણા પણ બાંધી આપેલા જ હતા. એમ કાશ્મીરને પણ ૩૭૦ ઘડી વિશિષ્ટ દરજ્જો આપેલો, આપવો પડેલો કહીએ તો વધુ સારું. રાજા-મહારાજાઓને આપેલા વિશિષ્ટ દરજ્જાઓ છીનવી લીધા એ વખતે બધાને સારું લાગતું હતું તો હવે કેમ બુરું લાગે છે? માનસિકતા તો એની એજ છે. પેલા વ્યક્તિગત હતા તો આ આખું રાજ્ય છે, તો રાજ્યની ઓળખ અને સ્વતંત્રતા હોય તેમ વ્યક્તિની ઓળખ અને સ્વતંત્રતા કેમ ના હોય?

માણસ સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલો છે અને સમૂહનો એક વડો હોય. આ વૈજ્ઞાનિક હકીકત છે. વ્યક્તિની સ્વતંત્રતા એક પગ ઉંચો કરવા જેટલી છે એનો બીજો પગ પોતાના સમૂહ અને એના કાયદા કાનૂન સાથે જોડાયેલો હોય છે. આપણે સરીસર્પ નથી નથી અને નથી. માનવીની સામાજિક વ્યવસ્થા બીજા પ્રાણીઓની સામાજિક વ્યવસ્થા કરતા જટિલ છે. કારણ એની પાસે બહુ મોટું કોર્ટેક્સ છે પુષ્કળ ન્યુરોન્સ છે. માનવી એક સાથે અનેક સમૂહોમાં જીવતો હોય છે. કુટુંબ, ફળિયું, ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય, દેશ, ધર્મ, વ્યવસાય, વિચારધારા આ બધા જુદા જુદા સમૂહોનું પ્રતિનિધત્વ કરતા હોય છે. આ બધા અનેક સમૂહોમાં માનવી એક સાથે જીવતો હોય છે. ક્યારે કોને પ્રાધાન્ય આપવું એનું સંતુલન રાખવું એ બહુ મહત્વની કળા છે.

“જેમ જેમ તમે મોટા અને મોટા સમૂહ સાથે જોડાતા જાઓ તેમ તેમ તમારી વ્યક્તિગત ઓળખ અને સ્વતંત્રતાનું વજૂદ ઓછું થતું જવાનું.”

મારે કુટુંબના ભલા માટે વ્યક્તિગત ઓળખો સ્વતંત્રતા બાજુ પર મુકવી પડતી હોય છે. અથવા એમાં બેલેન્સ જાળવવું પડતું હોય છે. તમારે સમાજના ભલા માટે કૌટુંબિક ઓળખ અને એનું ભલું બાજુ પર મૂકવું પડતું હોય છે. એવું કરે એને તમે બીરદાવો પણ છો. એવું લોકો ધરમ માટે કરતા હોય છે, દેશ માટે કરતા હોય છે, એક ચોક્કસ વિચારધારા માટે, એક ચોક્કસ સમાજ માટે કરતા હોય છે. આમાં પણ અમુક વિશિષ્ટ હોશિયાર લોકો આ બધા માટે બેલેન્સ જાળવીને બધાના ભલા માટે કામ કરતા હોય છે છતાં એમને ક્યાંક તો તડજોડ કરવી પડતી હોય છે એકાદને પ્રાધાન્ય આપવા કોઈ બીજાને ઓછું મહત્વ આપવું પડતું હોય છે. બાબાસાહેબ આંબેડકર હોય, ગાંધીજી હોય એવા અનેક આગેવાનો હતા જે એક સાથે અનેક સમૂહોના ભલા માટે પછી દેશ હોય કે કોઈ ચોક્કસ સમાજ હોય કે કોઈ ચોક્કસ વિચારધારા હોય એના માટે કામ કરતા જ હતા. દેશ એક મોટો સમૂહ જ છે. ક્યારેક દેશ માટે વિચારધારાને ઓછું મહત્વ આપવું પડતું હોય છે, ક્યારેક કોઈ ચોક્કસ સમાજ માટે દેશને ઓછું મહત્વ આપવું પડતું હોય છે. ક્યારેક કોઈ વિચારધારા માટે દેશ સમાજ બધાને ઓછું મહત્વ આપવું પડતું હોય છે. અને ધરમ માટે તો લોકો બધું ત્યજી દેતા હોય છે. હહાહાહાહા

કાશ્મીર એક સાથે અનેક દેશો જોડાયેલો રાજકીય વ્યુહાત્મક અને સરંક્ષણની દ્રષ્ટીએ મહત્વનો પ્રદેશ છે એટલે તે ભારતમાં રહે તેવું તે સમયના નેતાઓએ વિચાર્યું હશે. બાળક ભણવા બેસે એટલે એના ભણતરના ભલા માટે ક્યારેક ચોકલેટ આપવી પડતી હોય છે કે આટલુ લેશન કરી નાખ પછી ફરવા લઇ જઈશ તો ક્યારેક એના દાંતના ભલા માટે ચોકલેટ છીનવી પણ લેવી પડતી હોય છે.

કાશ્મીરમાં રહેતા લોકોને કઈ ઓળખ જોઈએ છે? કઈ ઓળખની સ્વતંત્રતા જોઈએ છે? કાશ્મીરી તરીકેની કે બીજી કોઈ? ૧૯૦૧મા કાશ્મીર વેલીમાં ૯૩% મુસ્લિમ હતા, હિંદુઓ લગભગ ૬૦,૦૦૦ હતા, તે સમયે જમ્મુમાં ૯૦% હિંદુઓ હતા, એમાં પણ બ્રાહ્મણો ૧૮૬૦૦૦, રાજપૂતો ૧૬૭૦૦૦, ખાતરી ૪૮૦૦૦ અને ઠક્કર ૯૩૦૦૦ હતા. કાશ્મીરમાં હિન્દી, પંજાબી, ડોગરી, કાશ્મીરી, તિબેટીયન, અને બાલ્ટી આટલી તો ભાષાઓ બોલાય છે.

મારે કાશ્મીર વેલીના બહુમતિ મુસ્લિમોને પૂછવું છે કે તમારે કાશ્મીરી તરીકે ઓળખ જોઈએ છે? તો તમે મૂળ કાશ્મીરી પંડિતોની છાતીમાં છરા ના ભોંક્યા હોત, તમે એમની બહેન દીકરીઓની છાતીઓ ચીરી બળાત્કાર ના કર્યા હોત. એમને અડધી રાત્રે ભગાડી ના મુક્યા હોત. તમારે કાશ્મીરી તરીકે ઓળખ જોઈતી નથી. તમારે ૩૭૦નાં બહાને મુસ્લિમ આતંકવાદ ફેલાવવો છે. આખાય ભારતમાં એનો ચેપ લગાવવો છે. કાશ્મીર જેવા ધરતી પરના સ્વર્ગને એક લોહીયાળ લોનમાં ફેરવી નાખ્યું છે. તો કયા મોઢે આગવી ઓળખ અને સ્વતંત્રતાની વાતો કરવી છે?

કાશ્મીરમાં આંદોલનો અને ચળવળો ચલાવતા તમામે તમામ નેતાઓના છોકરાં ઇંગ્લેન્ડ અમેરિકા ભણે છે અને બાકીના કુટુંબ સાથે રહે છે. એકેય નેતાનો છોકરો આંદોલનમાં માર્યો ગયો હોય તો કહો.

કાશ્મીરના ભલા માટે, ભારતના ભલા માટે ક્યારેક ૩૭૦ નામની ચોકલેટ આપી હશે એટલે કેમ આપેલી અને મહાન ભૂલ હતી વગેરે બકવાસ વાતો છે. ૩૭૦ ખાતા ના આવડ્યું, તો એનો દૂરુપયોગ થયો, તો એને વહેલી પાછી લઇ લેવાની હતી. પણ પાછી લઈશું તો નુકશાન થશે એવું ઘણાને લાગતું હશે એટલે એમણે પાછી ના લીધી અને ઘણાને એવું લાગ્યું હશે કે પાછી નહિ લઈએ તો નુકશાન થશે એટલે એમણે પાછી લઇ લીધી. ત્રીસ વરસમાં ૪૨૦૦૦ હત્યાઓ, આતંકવાદ, ત્રાસવાદ પછી માનવતાને નામે, કાશ્મીરીઓની સ્વતંત્ર ઓળખ, તે પણ ફક્ત કાશ્મીર વેલીના મુસ્લિમો માટે વકીલાત કરવી મૂર્ખામી છે. આપણી ગુજરાતી તરીકેની ઓળખ કોણે છીનવી લીધી? પંજાબી તરીકેની ઓળખ કોણે છીનવી લીધી? અરે અમેરિકામાં પણ દેન નથી કે આપણી ગુજરાતી તરીકેની ઓળખ છીનવી લે. અમે પ્લેનમાં થેપલાં કાઢીને અથાણા સાથે ખાઈએ જ છીએ ને? હહાહાહાહા

જેમ જેમ તમે મોટા સમૂહનાં ભલાનું વિચારો તેમ તેમ તમારે નાના સમૂહની વિચિત્ર ઓળખોને મહત્વ આપવાનું ઓછું કરવું પડે. જે સારું છે, બાકીના સમાજને નડતરરૂપ નથી એને તો કોઈ ટચ કરવાનું નથી. ઉલટાનું તમને બાકીના સમાજનો ટેકો મળશે. ન્યુઝીલેન્ડમાં જોયું હતું ને પેલા ગાંડાએ મસ્જીદમાં હત્યાકાંડ કરેલો આખી દુનિયા કોને પડખે હતી? તમારે પોતાની ગંદી, ગાંડી, ઘેલી ઓળખ જાળવી રાખવા બાકીના મોટા કે નાના સમૂહને ત્રાસ આપવો હોય તો પછી શાસનકર્તાઓને કડક થવું જ પડે.

આશા રાખીએ કાશ્મીર કાંટે કી કલી, હવે ફરી પાછો ખુબસુરત ગુલાબનો બગીચો બની જાય એના માટે આપણી જવાબદારી પણ ઓછી નથી.

:- ભૂપેન્દ્રસિંહ રાઓલ, સાઉથ એબિંગન્ટન, પેન્સિલવેનિયા, યુએસએ..

જગતનો તાત આત્મહત્યાને રસ્તે (વૈષમપાયણ મુનિ એણી પેર બોલ્યા)

 

 

 

જગતનો તાત આત્મહત્યાને રસ્તે (વૈષમપાયણ મુનિ એણી પેર બોલ્યા)untitled

 

વર્ષો જૂની આદત એટલે સ્વર્ગવાસી મહારાજા જનમેજય, સ્વર્ગવાસી મુનિ વૈષમપાયણનાં આશ્રમમાં રાબેતામુજબ પ્રાતઃકાળે પહોચી ગયા અને વંદન કરી આજે મુનિ કઈ કથા સંભળાવશે તેની રાહ જોવા લાગ્યા.

વૈષમપાયણ મુનિને પણ ખબર કે આ રાજા જનમેજયને મારી કથા સાંભળ્યા વગર સવારની ચા ગળે નહિ ઉતરે. એટલે મહામન વ્યાસજીની જેમ કશી ઔપચારિકતા, અરે મિત્રો ફોર્માલીટી દાખવ્યા વગર મુનિએ ત્વરિત કથા શરુ કરી જ દીધી.

હે રાજન ! જંબુદ્વિપમાં આજકાલ પ્રણોબ મુખોર્ય નામના રાજા ફક્ત નામનું રાજ કરી રહ્યા છે. ખરું રાજ તો એમના મહાઅમાત્ય મહામહિષી મહેન્દ્ર મુખી કરી રહ્યા છે. આમ તો આ મહેન્દ્ર મુખી જંબુદ્વિપનાં એક ગુજરાત નામના પ્રાંતનો સૂબો એટલે કે વહીવટદાર માત્ર હતો પણ બોલવામાં બહુ હોશિયાર અને કાવાદાવામાં માહેર એટલે એના ગુરુજીના પગ કાપી આખા જંબુદ્વિપનો મહાઅમાત્ય બની બેઠો. આમેય જંબુદ્વિપમાં ક્ષત્રિય રાજાઓનો સૂર્ય સદંતર આથમી ચૂક્યો છે. હવે ત્યાં જનપદ નામની વ્યવસ્થા ચાલી રહી છે. એટલે જેની જિહ્વા કાબેલ હોય તેવાં લોકો મત મેળવી રાજગાદી પર આવી શકતા હોય છે ભલે એમના બાપદાદાઓએ સાત શું હજાર પેઢીએ પણ દેશ માટે માભોમ માટે એક ટીપું પણ લોહી વહાવ્યું ના હોય. લોહી જોઈ ચક્કર આવે અને ગબડી પડે તેવી પ્રજાતિઓ હવે ત્યાં રાજ કરતી થઈ ગઈ છે.

ખેર આ મહેન્દ્ર મુખીની વાત પછી કરીશું, આજે મારે તને હે રાજન મોહમયી નગરીમાં રહેતા પોતાની જાતને મહાન માનતા પત્રકાર વૈશ્યની  કથા કહેવી છે, જેનું નામ રૌરભ છે. એટલું બોલી મુનિ જરા શ્વાસ લેવા રોકાયા.

રાજા જનમેજય પણ ગભરાઈ ગયો કે રૌરભ તો રૌરવ નરકને ભળતું નામ છે અને મુનિ કેમ આજે કોઈ વ્યક્તિને આવા ભળતા નામ આપે છે?

મુનિ તો મનોવિજ્ઞાની હતા રાજાની વ્યથા સમજી ગયા.

મુનિ  બોલ્યા હે રાજન ! ‘ગભરાઈશ નહિ આમ તો તે વણિકનું નામ સુગંધને લગતું છે પણ એની વાતોમાં, એના લખાણમાં મને કાગડાની વિષ્ટાની દુર્ગંધ જણાય છે માટે એનું નામ મેં રૌરભ કહ્યું તને.’

જનમેજય રાજા બોલ્યા ‘હે મહામુની આજે આ છાપામાં લખતા આ ક્ષુદ્ર જંતુની વાત શું કામ માંડી?’

હે રાજન ! ‘એનું કારણ એ છે કે આ પત્રકાર-લેખન જગતના ક્ષુદ્ર જન્તુએ જગતના તાતની અવહેલના કરી છે. એની મહાઅમાત્ય મહેન્દ્ર મુખી પ્રત્યેની અંધ ભક્તિએ આજે તમામ સીમાઓ વટાવી દીધી છે. આજે તેણે જમ્બુદ્વિપના મુખ્ય ન્યાયાધીશની પણ અવહેલના કરી છે. મુખ્ય ન્યાયાધીશ કોઈ વાત કરતા લાગણીશીલ બની રડ્યા તો એ બુદ્ધિજીવી જજના વહેલા આંસુઓની એ ગદર્ભે મજાક કરી. એ પોતાને ન્યાયાધીશો કરતા પણ એક ડગલું ઉપર સમજે છે. આ ગદર્ભ શાહે બાપ જીંદગીમાં ખેતર જોયું નહિ હોય. અડધી રાતે પાણી વાળવા ખેતરમાં ગયો નહિ હોય. ઘઉંના ખેતરમાં રાતે અંધારામાં એક પાળિયામાંથી મોટીમસ નીકમાંથી બીજા પાળિયામાં પાણી કેમ વાળવું તે એને ખબર નહિ હોય. કમરના મણકા તૂટી જાય એટલી ઝડપે પાવડામાં ભીની માટી ઉલેચવી પડે તે આ ગદર્ભને ખબર નહિ હોય. ખભે ફાંટયુ વાળી બરડા પાછળ સાહિત્યના સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતના ગૌરવ શ્રી રઘુવીર ચૌધરીની જેમ એરંડાની માળો ભેગી નહિ કરી હોય. કચરા શંકરજી ની જેમ એક હાથે ગાજરનું પળુલ પકડી એક હાથમાં ટૂંકા હાથાવાળી કોદાળીથી વાંકી કેડે ગાજર નહિ ગોડ્યા હોય. ૧૫ લીટર પાણી સાથે દવા મેળવી ખભે પંપ ભરાવી બેચાર વીઘાં કપાસમાં દવા છાંટી નહિ હોય. ખેર આવું તો ઘણું બધું છે જે એણે કર્યું તો નહિ હોય પણ જોયું નહિ હોય અને વિચાર્યું પણ નહિ હોય. એ ખરોત્તમને ખબર નથી કે ભારત એ અમેરિકા કે ઇઝરાયેલ નથી, હજુ તેવા વિકસિત દેશોની જેમ ખેતી કરવી અશક્ય છે, અને આજ સુધીની તમામ સરકારો ખેતી કે ખેડૂતો તરફી નહિ પણ લુચ્ચા ઉદ્યોગપતિઓ તરફી જ આવી છે.

રાજા જનમેજય બોલ્યા, ‘ જવા દો મહામુની આવા જંતુઓ જમ્બુદ્વિપમાં અતિશય છે. બની બેઠેલાં લેખકો વગર અનુભવે દીધે રાખતા હોય છે.’

‘અરે ! રઘુવીર ચૌધરી જેવા જ્ઞાનપીઠ વિજેતા ખેડૂતના દીકરા લેખક ખેડૂતોને ઠપકો આપે તો વાજબી કહેવાય પણ જેણે જિંદગીમાં ખેતર સુદ્ધાં જોયું ના હોય તેવા મહિષી ખેડૂતોને ઉપદેશ આપે તો ગુસ્સો ના આવે તો શું આવે? ૧૯૯૫ થી આજ સુધીમાં આશરે ૩ લાખ ખેડૂતોએ ભારતમાં આપઘાત કર્યા છે. આપઘાત કોણ કરે ? કોઈને શોખ થતો હશે આપઘાત કરવાનો? આ ડફોળ લેખકે ગમે તેટલા પુસ્તકો લખ્યાં હોય, લેખો લખ્યાં હોય એનાથી એ કોઈ સર્વજ્ઞ તો થઈ જતો નથી.’ મુનિ બોલ્યા.

હવે રાજા જનમેજય બોલ્યા, ‘મુનિશ્રી આપે કહ્યું તેમ ૧૯૯૫ થી આજ સુધીમાં આશરે ૩ લાખ ખેડૂતોએ આપઘાત કર્યા તેવો સરકારી ક્રાઈમ બ્રાન્ચનો રીપોર્ટ છે. એનો મતલબ એ થાય કે મહેન્દ્ર મુખીની જ સરકારમાં આપઘાત થયા છે તેવું તો છે નહિ. કારણ મહેન્દ્ર મુખી તો હમણાં વરસ દાડે થી જ સરકારમાં આવ્યા છે. મતલબ અગાઉની સરકારોએ પણ ખેડૂતોને રાહત થાય ફાયદો થાય તેવી નીતિઓ અપનાવી નથી.’

મુનિશ્રી જવાબમાં બોલ્યા મારું એજ કહેવું છે. બીજી સરકારોના સમયમાં આપઘાત થતા જ હતા ત્યારે આ મૂરખ કશું લખતો નહોતો પણ આ વરસના આપઘાતના આંકડા આવ્યા એટલે એણે તરત મહેન્દ્ર મુખીની સરકાર સામે જોખમ લાગવા માંડ્યું અને આ પાકા ભગતે તરત જે પાંચ સાત હજાર ખેડૂતોએ આપઘાત કર્યા હશે તેની મજાક ઉડાડતા લેખ લખી નાખ્યો.

રાજન જનમેજયને લાગ્યું આજે વૈષમપાયણ મુનિ ગુસ્સામાં છે બહુ બેસી રહેવામાં સાર નથી. એના કરતા કોઈ બહાનું કાઢી છટકી જવું સારું. એટલે રાજા જનમેજયે ખીસામાંથી આઈફોન કાઢી થોડીવાર ફંફોસ્યો અને મુનિને કહ્યું મહારાજ એક જરૂરી ટેક્ષ્ટ મેસેજ આવ્યો છે મારે ત્વરિત પહોચવું પડશે કહી મુનિની રજા લઇ રાજન તરત રવાના થઈ ગયા.

પણ જતા જતા રસ્તામાં વિચારતા હતા કે મહામુનિ વૈષમપાયણની વાત તો સાલી સાચી ને તર્કબદ્ધ છે.     images

 

 

 

 

 

સપ્પન્ની સાતી (૫૬ની છાતી)

સપ્પન્ની સાતી (૫૬ની છાતી) Isaac-Nesser-interview1

‘હમણાં ૫૬ ઈંચની છાતી વિષે બહુ ચગ્યું છે.’ વિષ્ણુભાઈ અમારી સમિત પોઈન્ટની ગપાટા મંડળીમાં આવતાવેંત બોલ્યા. આમ તો હાલ લગભગ માઈનસમાં તાપમાનનો પારો ગગડી ગયો છે એટલે ગપાટા મંડળી બહુ ઓછી ભરાય છે. પણ થોડું ચાલવું અને વિટામીન ડી માટે તડકી ખાવી પણ જરૂરી હોય છે.

વિષ્ણુભાઈ બોલ્યા એના જવાબમાં વિદ્વાન વિનુકાકા કહે, ‘માઈક ટાયસન જેવા બહાદુરની છાતી ૪૩ હતી. હોલીવુડના મશહૂર તારલા અને કેલિફોર્નીયાના માજી ગવર્નર અર્નોલ્ડ સાહેબની છાતી ૫૭ ઇંચ હતી. તો ડૉ ઇસ્સાક નાસિરની છાતી ૭૩ ઇંચ છે. પણ આ બધાં કસરતબાજો છે. જ્યારે એવરેજ પુરુષની છાતી ૩૨-૩૬ હોય તો બહુ થઇ ગયું.’

વિષ્ણુભાઈ એમની મૅહાંણી તળપદીમાં કહે, ‘સરેરાશ બૈરૉની સાતી ય સપ્પન્ની ઑતી નહિ, તાણઅ આ મોદી ચમ દિયોર સપ્પન્ની સાતી સપ્પન્ની સાતી બોલ્યા કરસઅ, અમારા પટેલીયૉના ઢેકા પોલીસવાળો જોડે ભગાઈ નૉસ્યા ન અવ દિયોર ઑન્તકવાદી રોજ ઉમલો કરીસી તાણ ચમ કૉય પગલાં લેતો નહીં, ન પાકીસ્તૉન જઈ શરીફની માનઅ પગે લાગવા ઉન્ધો પડી જાયસઅ. ચૉ જઈ સપ્પન્ની સાતી?

હહાહાહાહાહા વિનુભાઈ અને હું જોરથી હસી પડ્યા. પણ વિષ્ણુભાઈને આજે શૂર ચઢ્યું હતું. વિષ્ણુભાઈ મહેસાણી પટેલ હતા તો વિનુકાકા ચરોતરના પટેલ હતા. અહિ અમારે પટેલોની બહુમતી છે. આખાબોલો પટેલ દિલનો ભોળો ને ભલો હોય છે તેવું મારું અંગત માનવું છે. ગુજરાતમાં હાર્દિક પટેલનું આંદોલન થયું ત્યારના વિષ્ણુભાઈ નરેનબાબુ ઉપર બહુ ગરમ હોય છે, પણ એમના મનમાં જે હોય તે ચોખ્ખે ચોખ્ખું કહી દેતા હોય છે.

chest-main_Fullવિષ્ણુભાઈ આગળ વદ્યા, ‘અલ્યા રાઓલભાઈ હાચું કે જો, તમે મારી તમાકુ ખાતા હોય ક મું તમારી બીડી પીતો હઉ ક આપણા બે ઘર વચે વાટકીવેવાર હોય અનઅ આપણા સોકરાં લડી એકબીજાન મારી તો કોય આપણઅ બે જણા લડવાના સિયે? નહિ લડવાના. આપણા બે વચાળે લાગણીના સંબંધ હોય તો આપણે નહિ લડવાના. ભૈબંધી આડઅ આઈ જ જાય. રોજ ભેગા બેહી ન ભજિયૉ ખાતા હૈયે તો નહિ લડવાના. પણ રોજ તમારા સોકરાં મારા સોકરૉન મારી જતા હોય ન મારઅ તમારી જોડ બાજવુ હોય તો પેલ્લું તો મારઅ તમારી બીડી પીવાનું બંદ કરવું પડઅ, ભેગા બેહીન ભજીયૉ ઝાપટવાનું બંદ કરવું પડઅ. પસી લડી હકાય. આટલી સીધીસટ વાત સઅ.’

મેં કહ્યું સાચી વાત છે પણ હું ક્યા બીડી પીવું છું કે તમાકુ ખાઉં છું? મેં હસતા હસતા પૂછ્યું.

‘અલ્યા ભઈ મું તો એક દાખલો આલું સુ.’ વિષ્ણુભાઈ પણ હસી પડ્યા. હસતા હસતા આગળ કહે, ‘રોજ હાડીઓ આલી હોય ન લીધી હોય તો હેનું બાઝવાનું મન થાય? મું તો ઈને શાલ આલી અનઅ હાડી લીધી તાણનો હમજી જ્યો તો આ ભઈ પાકિસ્તાન હૉમું કોય પગલૉ લેવાનો નહિ. ગમે એટલા ઑન્તકવાદી ઉમલા કરસી આ સૈનિકો ન નાગરીકો મરસી આ ભઈલો હહડવાનો નહિ. સપ્પન્ની સાતી હાતની(૭) કરીનઅ બેહી જવાનો સ..

વિનુકાકા કહે, ‘સાચી વાત છે, લાગણીના સંબંધ બંધાય ત્યાં લડી ના શકો. પણ આ વેપારી છે. એને એના ભૈબંધોનો વેપાર વધે એમાં રસ છે. બીજું દુનિયામાં સારા કહેવડાવવા આપણા નેતાઓ જીતેલા યુદ્ધ ટેબલ પર આજ સુધી હાર્યા છે. પાકિસ્તાનમાં નેતાઓનું કશું ચાલતું નથી ત્યાં ખરું રાજ મિલિટરી જનરલો કરે છે. મહાસત્તાઓના દબાણને લીધે એમને થોડો સમય શરીફ જેવા પ્યાદાંને વડાપ્રધાન બનાવવા પડે છે પણ ખરું રાજ એમનું ચાલતું હોય છે. તમે શરીફ આગળ ગમે તેટલા શરીફ થાઓ એનું કશું ચાલતું જ ના હોય તો શું કામનું? આ લોકો કુરતા-પાયજામાં પહેરાવી પાક લશ્કરના માણસોને ભારતમાં ધકેલી નિર્દોષ નાગરિકોને મરાવે પણ ભારતીય સૈન્ય સામે ખરું વોર થાય તરત હથિયાર હેઠા. એ વખતે એમની ફાટી જાય છે. પછી મહાસત્તાઓને વચમાં રાખી તરત સમાધાન ઉપર આવી જતા હોય છે ત્યાં આપણા નેતાઓ માર ખાય છે. આપણા સૈનિકો યુદ્ધના મેદાનમાં લોહી વહાવે છે, નેતાઓ તે લોહીનું કરારના ટેબલ પર પાણી કરી મુકે છે.’

વિષ્ણુભાઈ કહે, ‘શાબાશ વિનુભઈ હાચી વાત કરી. પણ રાઓલભઈ આ સપ્પ્નની સાતીનું કાંક રહસ્ય મનઅ લાગસઅ, તમે જૉણતા હોય તો ક્યો.

મેં કહ્યું, ‘આપણે મર્દાનગી બતાવવી હોય તો છત્રીસની છાતી એમ કહીએ છીએ. છપ્પનની છાતી પાછળ બહુ મોટું દુઃખ, હાડમારી અને સ્ટ્રગલ રહેલી છે. ભારતમાં ૧૮૯૬માં ખુબ ઓછો વરસાદ પડેલો. તે વર્ષ અલ નીનો વર્ષ હતું. ૯૭-૯૮મા એની પૂર્તિ થાય ત્યાં પાછું અલ નીનો વર્ષ ૧૮૯૯ આવ્યું. અલ નીનો એટલે મહાસાગરોમાં એવી ઈફેક્ટ પેદા થાય એના લીધે ભારતીય ઉપમહાખંડમાં વરસાદ બહુ જ ઓછો પડે. ૧૮૯૭માં આગ્રા, અવધ બંગાળ અને મધ્ય ભારતમાં ત્રણલાખ ચોરસ માઈલમાં રહેતી પ્રજાને દુષ્કાળની ભયંકર અસર થઈ. તો ૧૯૦૦માં મુંબઈ પ્રેસિડેન્સી, મધ્યભારત, રાજસ્થાન ગુજરાત ઝપટમાં આવી ગયા. લગભગ એક કરોડ લોકોને એની અસર થયેલી. લાખો લોકો ભૂખે મરી ગયેલા. સોનું આપો તો સામે મૂઠી જાર કે બાજરી નો મળે તેવું થઈ ગયેલું. લાખો લોકો મરણશરણ થઈ ગયેલા. માણસ માણસને ખાય તેવી કારમી પરિસ્થિતિ ઊભી થયેલી. આ બધું બનેલું ત્યારે વિક્રમ સંવત ૧૯૫૬નું વરસ ચાલતું હતું માટે છપ્પનીયો દુષ્કાળ કે કાળ પડેલો એમ કહેવાય છે. ત્યાર પછીના વર્ષે વરસાદ વધારે પડ્યો તો કૉલેરા, મલેરિયા, પ્લેગ જેવી મહામારીઓ ફેલાણી એમાં બીજા હજારો મરી ગયા. હવે આવા કપરા, દારુણ કાળમાં હદ બહારની પીડા, મહાદુઃખ વેઠી જે જીવી ગયો તે છપ્પનીયો કહેવાતો કે ભાઈ મજબૂત કહેવાય. છપ્પનની છાતી મતલબ ઈંચમાં નહિ પણ છપ્પનનો દુષ્કાળ ખમી ચૂકેલો મર્દ માણસ. ખરેખર છાતીની દ્રષ્ટીએ મર્દ માણસ માટે છત્રીસની છાતી જેવો મહાવરો છે. છપ્પનની છાતી તો સ્પેશલ કસરત-મહેનત કરીને બનાવેલ પહેલવાનો અને કસરતબાજોની જ હોય સરેરાશ માનવીની હોય નહિ.’

‘લ્યૉ તાણ મોદી વરી ચ્યાં સપ્પ્નીયા કાળમાં જન્મેલા સ..અ.. એતો આઝાદી પસી પેદા થ્યા સી. મારી દાદી સપ્પનીયા કાળની વાતો કરતાં, તાણ ઈમની ઉંમરેય બૌ નૉની અતી.’ વિષ્ણુભાઈ બોલ્યા.

વિનુકાકા કહે મોદીએ કોઈનાં સ્ટેટમેન્ટનાં જવાબમાં છપ્પનની છાતી જેવું કશું કહેલું, મતલબ એવો થાય કે છપ્પનના દુષ્કાળ જેવા લોકોના દુઃખ જોયા હોય જાતે વેઠ્યા હોય તે બીજાના અનુભવી શકે ને દૂર પણ કરી શકે. હવે મોદીએ કયા અર્થમાં કહેલું તે મોદી જાણે.

વિષ્ણુભાઈ પાછા ઉકળ્યા, ‘ દિયોર એ હું જૉણઅ, ડંફાસો મારવામૉથી ઊંચો નહિ આવતો. આ દિયોર પઠૉણકોટમાં મૉય ઘરમાં પેહી જઈ ન મારી જ્યાં, આપણા લશ્કરના મૉણહો બિચારા અમથા અમથા કુટઈ જૉયસી. દીયોડો ન પૂરી ખબરેય ઑ   ય  નઇ, કી સી ઓપરેશન ઓવર. તંબુરો ઓવર અમણૉ મારા મૂઢાની કૉક હૉભળસે. દિયોર ગૃહ પ્રધૉન સ ક પટાવાળો? બદલો લેવો જોઈ અ ક નૈ?

મેં કહ્યું, ‘બદલો લઈએ એ વાત જુદી છે. પઠાણકોટ ટ્રેજેડી સરકાર અને દેશની તમામ સુરક્ષા એજન્સીઓની નિષ્ફળતાનું પરિણામ. સુરક્ષા એજન્સીઓનો એકબીજા સાથે કોઈ તાલમેલ જણાતો નથી કે નથી સરકારનો એમના ઉપર કોઈ કાબૂ. ૪૮ કલાક પહેલા ખબર હતી કે આતંકવાદીઓ આવી ચુક્યા છે ને ખુલેઆમ ફરી રહ્યા છે. દેશની આંતરિક સુરક્ષા પોલીસ અને ગૃહપ્રધાનની ફરજ છે. ગૃહપ્રધાન રાજનાથસિંહ ભાઈએ એમની નિષ્ફળતા કબૂલી જો એક છાંટો શરમ બચી હોય તો રાજીનામું આપી દેવું જોઈએ. શું કહો છો?

વિનુભાઈ કહે, ‘સાચી વાત છે. મારો પોઈન્ટ એ છે કે પહેલા તો ઘુસ્યા એજ આપણી નિષ્ફળતા. પોલીસ અધિકારીનું અપહરણ બીજી નિષ્ફળતા. એણે સમાચાર આપ્યા પછી તમામ તંત્રો ઊંઘતા રહ્યા. ૪૮ કલાક પછી હુમલો. ટૂંકમાં પોતાની જૉબ કોઈ સરખું કરતુ જ નથી. તમામ જવાબદાર પોલીસ અને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ ઉપર કડક પગલા લેવા જોઈએ. એમને જૉબ પરથી કાઢી મુકવા જોઈએ. એ તમામને સો કોલ્ડ મર્ડરર ઓફ આર્મી ઓફિસર્સ ગણી કેસ ચલાવવો જોઈએ તે પહેલા ગૃહ પ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ.’

મેં કહ્યું, ‘દેશની સુરક્ષા એજન્સીઓ અને ગૃહ પ્રધાનની નિષ્ફળતાને હાથે હણાયેલા દેશના વીર જવાનોને એમની કમોત શહીદી બદલ આદરાંજલિ આપી છુટા પડીએ.’

વિષ્ણુભાઈ પાછા બગડ્યા, ‘દિયોર આ બધાં પરધૉનૉ ન અંજલી હૉમટી આલી દેવા જેવી સ.

તાપમાન ધીમે ધીમે ગગડતું જતું હતું શૂન્ય થી નીચે એક-બે-ત્રણ. રાત્રે તો શૂન્યથી નીચે ૧૫ થવાનું હતું. મેં કહ્યું હવે ભાગીએ ઘેર કાલે વેધર સારું હશે તો મળીશું કહી બધા છુટા પડ્યા.            pathankot

દૂધપાકની બૉન

દૂધપાકની બૉન

અમારા સમિતપોઈન્ટનાં ચર્ચા ચોરે આખા ગામની પંચાત થાય. રિટાયર્ડ માણસો બીજું કરે પણ શું? હું સવારે કામ પર જાઉં તો સાંજે ચોરે જઈ બેસું અને સાંજે કામ પર જાઉં તો સવારે કુમળો તડકો ખાતા મિત્રો જોડે જઈ ગપાટા મારું. મિત્રો લખ્યું એટલે યાદ આવ્યું. અમારા એક મિત્ર ડૉ ભાનુભાઈ કહે આ વખતનું ફિજીક્સનું નોબેલ પ્રાઈઝ નરેનબાબુને મળશે, કારણ એમણે ગૉડ પાર્ટીકલ BOSON જેવો, એનો ભાઈ કહો તો ચાલે તેવો પાર્ટીકલ શોધી કાઢ્યો છે, મિત્રોન…. આ વાત ચર્ચા ચોરે કરતાં બધા ખુબ હસ્યા. નરેનબાબુને વાતે વાતે મિત્રો, ભાઈઓ ઔર બહેનો કહેવાની આદત છે. એમની સામે ફક્ત બેચાર જણા બેઠા હોય તો પણ ભાઈઓ ઔર બહેનો શબ્દ ટેવ મુજબ બોલાઈ જાય છે. પણ એક વાતની કદર કરવી પડે કે નરેનબાબુની બોલવામાં માસ્ટરી છે.

વિનુકાકા કહે, ‘આ વખતની બિહારની ચુંટણીમાં નેતાઓ એકબીજાને ભાંડવામાં સાવ નીચલા સ્તરે ઉતરી ગયા છે. અમિત શાહે લાલુને ચારા ચોર કહ્યા, તો લાલુએ અમિત શાહને હત્યારા કહ્યા.’

રમાબેન કહે, ‘પેલી દૂધપાકની બૉન ગાડીમાં બેઠી બેઠી કહે અમિત શાહે ગુજરાતમાં લાખો કરોડોની હત્યા કરાવી નાખી, અલી બૉન જરા માપમાં બોલતી હોય તો સારું લાગે. પછી એને જાતે જ લાગ્યું કે લાખો કરોડો વધારે કહેવાય પછી કહે હજારોની હત્યા.’

વિષ્ણુભાઈ કહે આ દૂધપાકની બૉન કોણ?

રમાબેન ઉવાચ, ‘અરે દૂધપાક અને રબડી ભાઈ બહેન કહેવાય કે નહિ?’

રબડી અને દૂધપાક બંને દૂધમાંથી જ પેદા થાય છે. રબડીદેવી એવું બોલેલા પણ ખરા કે લાખો કરોડોની હત્યા કરી નાખી. પછી સુધારેલું બીજા વાક્યમાં કે હજારોની હત્યા કરાવેલી. રબડી દેવી માટે દૂધપાકની બોન સંબોધન સાંભળી બધા એટલું હસ્યા કે વિનુકાકાને ઉધરસ ચડી ગઈ. આ તમાકુ-મસાલા મોઢામાં ભરી રાખતા હોય તેમણે હસવામાં કંટ્રોલ રાખવો પડે. તરત ઉધરસ ચડી જાય.

મેં કહ્યું, ‘મોદીએ લાલુને શેતાન કહ્યા તો એમણે મોદીને બ્રહ્મ-પિશાચ કહ્યા. આમ આ વખતે શબ્દયુદ્ધ બરાબર જામ્યું છે.’

વિષ્ણુભાઈ જરા સેન્સિટિવ માણસ છે. એમને આવું બધું દેશમાં ચાલે છે તે જોઈ બહુ દુઃખ થાય. તેઓ રિટાયર્ડ થઈને જ અમેરિકા આવ્યા છે. એમના દીકરા દીકરીઓ બધા અહિ છે. બહુ મોટી ઉંમરે આવેલાને દેશ બહુ યાદ આવે. આખો દિવસ ભારતીય ચેનલ્સ જ જોયા કરવી, ગુજરાતી ન્યુઝ પેપર્સ ઓનલાઈન જે મળે તે વાંચે રાખવા એવી આદત પડી જતી હોય છે. મોટી ઉંમરે અમેરિકા આવીને મનથી સેટ થવું અઘરું લાગે.

વિષ્ણુભાઈ કહે, ‘આ બીફ પ્રકરણ મારું દિયોર બહુ ચાલ્યું સઅઅ. બીફ ખાધું સ ક ઘરમાં રાખ્યું સઅ એવી અફવા ફેલઇ એક મૉણસની હત્યા કરી નૉખવામાં આયી; આ તો કૉય રીત સ? આ દેશ ચૉ જઈ રયૉ સ ખબર નઇ પડતી. અનઅ આ જોગટા મારા દિયોર સંસાર સોડી નાઠેલાનું સંસદમાં હું કૉમ સઅ? દીયોરો જીભડી કાબુમૉ રાખતા નહિ. હિંદુ અન મિયૉન લડઈ મારવાના ધંધા હોધી કાઢ્યા સ.’ વિષ્ણુભાઈ એમની મેહોણી તળપદીમાં બરોબર બગડ્યા.

વિનુકાકા કહે, ‘આ બાવાઓને ના તો વેદોનું જ્ઞાન છે, ના હિંદુ ધર્મનું. વગર વેદ વાંચે ઠોકે રાખે છે. વગર વેદ વાંચે વેદોના સંદર્ભ આપતા હોય છે. અજ્ઞાની પ્રજા એમનું કહ્યું સાચું માની લેતી હોય છે. સ્વામી વિવેકાનંદે એમના એક પુસ્તકમાં કબૂલ કરેલું છે કે પ્રાચીન હિંદુઓમાં બીફ નાં ખાય તે સાચો હિંદુ ના કહેવાય તેવું મનાતું હતું અને આ વાતનું આશ્ચર્ય ખુદ સ્વામી વિવેકાનંદને પણ હતું. ભલે તમે માંસ ખાઓ કે ના ખાઓ, બીફ ખાઓ કે ના ખાઓ આ બધી વાતો મહત્વની નથી. શું ખાવું તે દરેકની અંગત ચોઈસ છે. આપણે કોઈના ઉપર કઈ રીતે બળજબરી કરી શકીએ કે આ જ ખાઓ અને આ ના ખાઓ? આખી દુનિયા બીફ ખાય છે ત્યાં તો તમે રોકવા જવાના નથી ને? આખી દુનિયા પોર્ક ખાય છે ત્યાં તો તમે રોકવા જવાના નથી ને? હિંદુ-મુસલમાન બંને આ રીતે ખોટા છે. ધર્મ પણ અંગત બાબત હોવી જોઈએ, ધર્મ કોઈ જાહેર પ્રદર્શનની બાબત ના હોવી જોઈએ.’

આ વિનુકાકાએ ક્યારેય જીંદગીમાં ય ઈંડું પણ ખાધું નથી. પ્યોર શાકાહારી અને તમાકુ નામના પર્ણ આહારી. પણ એમના ઉમદા વિચારો જુઓ.

વિષ્ણુભાઈ કહે, ‘સાચી વાત છે. જેને જે ખાવું હોય તે ખાય. અને જેને જે માનવું હોય તે માને. આ રાઓલબાપુ ભગવાનમાં નથી માનતા આપણે કદી બળજબરી કરી કે ના ભગવાનમાં માનો જ?’

એમણે હસતાં હસતાં કહેલું તો મેં પણ હસતાં હસતાં જવાબ આપ્યો કે હું એમ કોઈનું કહ્યું માનું એવો છું ખરો? અને હું પણ ક્યાં તમારા પર બળજબરી કરું છું કે ભગવાનમાં માનશો નહિ. અરે મારા ઘરમાં જ નાનકડું મંદિર મારા વાઈફ લાવ્યા છે અને તે પણ મંદિર વેચવાનો બિઝનેસ કરતા બાપ્સની સંસ્થામાંથી. હવે મારા વાઈફ પોતે કોઈ સ્વામીનારાયણ સંપ્રદાયનાં ભક્ત નથી પણ એમના મંદિરમાં સ્વામીનારાયણનાં ફોટા વગેરે છે જે તેમણે ગાર્બેજ નથી કર્યા. મેં તો એના ફોટા જગજાહેર હું નાસ્તિક હોવા છતાં અને સ્વામીનારાયણ સંપ્રદાયનો સખત ટીકાકાર હોવા છતાં ફેસબુકમાં મુક્યા છે. મારો તો એક જ જગજાહેર સંદેશ છે કે મારી વાત સાંભળો પછી એના ઉપર વિચાર કરો પછી સમજો, સાચી લાગે તો માનો અથવા ફેંકી દો, જસ્ટ સ્ટાર્ટ થીંકીંગ. અરે વિચારવાની બારીઓ ખોલો તો પણ મારા માટે બહુ છે.’

વિષ્ણુભાઈ મૂળ રીટાયર માણસ આખો દિવસ કોમ્પ્યુટર અને ટીવી પર બેસી રહે. તો કહે, ‘આજે NDTV પર બરખા દત્તનો પ્રોગ્રામ જોયો. એમાં એ ચાપલીએ ભાજપનાં, સમાજવાદી પક્ષના, કોંગ્રેસનાં નેતાઓ અને થોડા પત્રકારો ભેગા કરેલા. મુર્ખીએ એમાં જસ્ટીસ કાત્જુને પણ બોલાવેલ. હવે મજા એ આવી કે બધા નેતાઓ એકબીજાને ટપલીદાવ મારતા હતાં પણ જેવા જસ્ટિસ કાત્જુએ કહ્યું કે આ બધા નેતાઓ રાસ્કલ છે અને આ બધાને બહુ પહેલા લટકાવી દેવા જોઈએ અને આ લોકોમાં દેશ માટે કોઈ પ્રેમ નથી તો બધા હરામખોરો જે એકબીજાના દુશ્મન હતા તે એક થઇ ગયા ને જસ્ટિસ કાત્જુ પર તૂટી પડ્યા.’

મેં કહ્યું, ‘જસ્ટિસ કાત્જુની અમુક બાબતોમાં ભલે આપણે સહમત હોઈએ કે ના હોઈએ, લોકો એમને ગાંડા ગણે કે ના ગણે પણ એમની વાતોમાં દમ હોય છે. અરે એક તો માણસ છે કે જે બેફામ બોલી શકે છે. સુપ્રીમ કોર્ટનો જસ્ટિસ અમસ્તો તો નહિ જ રહ્યો હોય ને?

રમાબેન બહુ સમય પછી બોલ્યા, ‘પેલા સમાચાર જોયા? એક દંપતી લગભગ નગ્ન હાલતમાં પોલીસ સાથે જપાજપી કરતુ હતું, એ શું હતું?’

વિનુકાકા કહે,, ‘દલિત દંપતી ફરિયાદ કરવા ગયેલું પણ પોલીસ ફરિયાદ લેતી નહોતી એટલે પછી તે લોકોએ જાતે જ નગ્ન થઈને પ્રોટેસ્ટ કરવાનો નવો રસ્તો અપનાવેલો. એમાં પછી એમનો બીજો પરિવાર પણ જોડાઈ ગયેલો. જો કે પેલી ફૂલનદેવીને ફેરવેલી એવું હજુ ય ઘણી જગ્યાએ બનતું જ હશે. હજુ આપણે મહાભારતના સમયથી આગળ ક્યા વધ્યા છીએ?

આમ અમારી ચર્ચાસભા કાયમ હસતી હસતી છૂટી પડતી પણ આજે બધાના મનમાં થોડો વિષાદ પણ હતો.

જ્ઞાનને શુદ્ધ જ્ઞાન રાખો એને ધર્મના લેબલની જરૂર નથી. (યોગા)

800px-Bhujangasana_Yoga-Asana_Nina-Melજ્ઞાનને શુદ્ધ જ્ઞાન રાખો એને ધર્મના લેબલની જરૂર નથી. (યોગા)

The US Patent and Trademark office has reportedly issued 150 yoga-related copyrights, 134 trademarks on yoga accessories and 2,315 yoga trademarks.

સૌથી વધુ યોગની પ્રેક્ટીશ કરતા હોય તો તે અમેરિકનો છે એવું મારું માનવું છે. એમને તે વાત જરાય નડતી નથી કે યોગની વ્યવસ્થિતપણે શોધ ભારતીયોએ કરેલી છે, અને તે ભારતીયો હિંદુ વિચારધારાને વરેલા હતાં. યોગ હિંદુ ફીલોસફીની છ મુખ્ય સ્કૂલ્સ માની એક સ્કૂલ છે. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મિમાંસા અને ઉત્તર મિમાંસા આમ છ હિંદુ તત્વજ્ઞાનની મુખ્ય શાખાઓ છે. સમજી લો કે ઉત્તર મિમાંસાથી ઈશ્વરભાઈ નામનો કોન્સેપ્ટ ઘૂસેલો છે. સાંખ્ય તદ્દન નિરીશ્વરવાદી હતું અને યોગ એની સાથે બહુ નજદીક હતો. એમાં જે પણ ઈશ્વર ઘુસ્યો હશે તે બહુ પાછળથી. મુર્ખ મુસલમાનો સાથે અજ્ઞાન હિન્દુઓને પણ ખબર નથી કે ભારતીય ફીલોસફીની છ સ્કૂલ્સમાં ઈશ્વર છેલ્લે ઘૂસેલો છે. યુજ ધાતુ પરથી યોગ શબ્દ બનેલો છે. યોગ મતલબ જોડવું. શરીર અને મન સાથે અદભુત જોડાણ કરવું અથવા તે જોડાણને સમજવું અને અમુક ક્રિયાઓ કરીને તે જોડાણ ને અદ્ભુત બનાવવું જેથી સર્વાઈવલ ઓફ ફીટેસ્ટનાં જમાનામાં સર્વાઈવ વધુ સારી રીતે થઈ જવાય તે પ્રક્રિયાને યોગ કહેવાય છે.

આધુનિક મેડીકલ સાયન્સની જેમ યોગ એક શુદ્ધ જ્ઞાન છે તેને ધર્મોના લેબલની જરાય જરૂર નથી તે પાપી પશ્ચિમના ક્રિશ્ચિયન લોકો ફનેટીક મુસલમાનો કરતા વધુ સારી રીતે જાણે છે, માટે આજે યોગ વિષય ૧૫૦ પેટન્ટ અમેરિકનો ધરાવે છે.

કેટલા હિન્દુઓને ખબર હશે કે યોગના આઠ અંગ છે? કે આઠ પ્રકરણ છે? કે યોગ નામની સીડીને આઠ પગથિયાં છે? હરિયાણાની ભાજપા સરકારના યોગના બ્રાંડ એમ્બેસેડર, યોગના વેપારી ગુરુ બાબા રામદેવ યોગની આઠ પગથીયાની સીડીના ફક્ત બે પગથિયાં આસન અને પ્રાણાયામ વિષે તમને માહિતી આપે છે. ફક્ત બે પગથિયાં જો આટલા લાભદાયી હોય તો આઠ પગથિયાં ચડીને ક્યાં પહોંચી જવાય?

યોગના આઠ અંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ.

બાબા રામદેવ પ્રાણાયામ અને આસનો જ શીખવાડે છે બાકી બીજા તેઓ અંગો વિષે તેઓ જાણતા જ હોય પણ સામાન્યજનને શીખવવાનું મુનાસીબ નહિ સમજતા હોય. કે એમાંથી અર્થોપાજન થાય તેવું લાગતું નહિ હોય.

યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર દ્વારા મદદ મળતા ધારણા, ધ્યાન અને સમાધિના પગથિયાં આસાનીથી ચડી શકાય.

પ્રાણાયામ શ્વાસોચ્છવાસની અદ્ભુત ટેકનીક છે. ઓક્સિજન વગર તો મુસલમાન પણ નહિ જીવી શકે અને પ્રાણાયામ ટેક્નિક ઓક્સિજન વધુમાં વધુ લેવાની ટેક્નિક છે. માછલી, કાચબો, ગાય, ભેંસ, ડુક્કર, હાથી કે માનવી, મુસલમાન કે હિંદુ, ખ્રિસ્તી કે પારસી, બૌદ્ધ કે જૈન, કે કોઈપણ હોય પાણીમાં તરતી વખતે ઓટ્મેટિક પ્લાવની પ્રાણાયામ કરે જ છે. તેમ જ લાંબુ દોડવાથી ઓટ્મેટિક ભસ્ત્રિકા પ્રાણાયામ થઈ જાય છે, ત્યારે કોઈ મુસલમાન એમ કહી નહિ શકે કે હું ભસ્ત્રિકા નહિ કરું કે સ્વિમિંગ પુલમાં પ્લાવની નહિ કરું, કારણ કોઈ હિન્દુએ પ્રાણાયામનાં વિવિધ નામ આપ્યા છે. ન્યુટને ગુરુત્વાકર્ષણ વિષે સમજ આપી તે પહેલા શું ગુરુત્વાકર્ષણ નહોતું? પતંજલિએ યોગ સુત્રો રચ્યા તે પહેલા શું યોગા નહોતો? અરે યોગા તો પ્રાણીઓ પણ કરે જ છે. સાપ કરે છે સ્ટાઈલને તો ભુજંગાસન નામ આપ્યું છે. એટલું કે એમને એના વિષે કોઈ વ્યવસ્થિત સમજ નથી.

આસનો સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ છે. હવે એને પશ્ચિમની સ્ટાઈલથી કરો કે ભારતીય સ્ટાઈલ કે ચાઇનીઝ સ્ટાઈલથી કરો શું ફરક પડે છે?

ચાઇનીઝ શાઓલીન, કુંગ ફૂ, કે જાપાનીઝ કરાટે હોય કે બીજા કોઈ પણ દેશની માર્શલ આર્ટ હોય યોગના આઠે આઠ અંગનું આક્રમક રૂપ છે. એમાં યમ છે નિયમ છે આસન છે પ્રાણાયામ છે અને ધ્યાન પણ છે સાથે સાથે સ્વબચાવ માટે આક્રમક રવૈયો એ લોકોએ ઉમેરેલો છે. અહિ આપણે ભારતીયોની ચૂક થઇ ગઈ આપણે સ્વબચાવ માટેનો આક્રમક રવૈયો યોગમાં ઉમેર્યો નહિ અને હશે તો  કાઢી નાખ્યો અને હજારો વર્ષ ગુલામ રહ્યા. આપણે યોગ સાથે ભક્તિ(સબમીશન) અપનાવી, ભક્તિ પાછળથી આવી, અને જે પણ આક્રમણકારીઓ આવ્યા શરણે થઇ ગયા. હજુ પણ શરણે થઇ જવાની ભાવના અકબંધ જ છે. ભક્તિ નબળા લોકોની માનસિકતા છે.

યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો છે.

યોગા પ્રાચીન ભારતે દુનિયાને આપેલી મહામૂલી ભેંટ છે. જેમ આધુનિક મેડીકલ સાયન્સનો વિકાસ ભલે યુરોપ અને ક્રિશ્ચિયાનિટીને હસ્તે થયો પણ આજે આખી દુનિયા એને કોઈ ધર્મના લેબલ લગાવ્યા વગર વાપરે છે અને ક્રીશ્ચિયાનિટી વાપરવા દે છે તેમ યોગા પણ વાપરવો જોઈએ. બાકીની દુનિયાના લોકો તો યેનકેન પ્રકારે વાપરે જ છે.

હવે જેમ તાવ આવે ત્યારે કોઈ ડોક્ટર જોડે જઈએ, વૈદ્ય જોડે જઈએ કે હકીમ જોડે જઈએ તે આપણી ઈચ્છાનુસાર હોય છે તેવું યોગા વિષે પણ હોવું જોઈએ કોઈને ફરજ પાડી શકાય નહિ કે વૈદ્ય જોડે જ જાઓ કે હકીમ જોડે જાઓ કે ડોક્ટર જોડે જ જાઓ. Janusirsasana_Yoga-Asana_Nina-Mel

કાબે અર્જુન લુટીયો વોહી ધનુષ વોહી બાણ

કાબે અર્જુન લુટીયો વોહી ધનુષ વોહી બાણuntitled

 

સમય સમય બલવાન, નહિ મનુષ્ય બલવાન કાબે અર્જુન લુટીયો, વહી ધનુષ વહી બાણ.

યાદવોનો અંદરોઅંદર લડીને સર્વનાશ થઈ ચૂક્યો હતો. અર્જુનને સમાચાર મળી ચૂક્યા હતા. અર્જુન પુરપાટ એના પ્રિય સખા કૃષ્ણને મળવા દ્વારકા તરફ ધસી રહ્યો હતો. રસ્તામાં અંદરોઅંદર લડાવી મારવાની માનસિકતા કહેવાય તેવા નારદજી મળ્યા. એમણે અર્જુનને ચેતવ્યો હતો કે કાલે કૃષ્ણ મળે તો સ્પર્શ કરતો નહિ પછી કહેતો નહિ કે તને ચેતવ્યો નહિ, જો કૃષ્ણને સ્પર્શ કરીશ તો એવું બનશે કે મહાન ભારતવર્ષની મહાન જાતિ હમેશાં તને યાદ કરશે, ૫૦૦૦ વર્ષ પછી કેજરીવાલ નામનો આમ આદમી મહાન ભારતીયોનું અસ્પૃશ્ય(સફાઈમાં શરમ)રહેલું ઝાડુ હાથમાં લઈને કોઈ મહારથીને હરાવશે ત્યારે તારું નામ શરમજનક સ્થિતિમાં લેવામાં આવશે.

નારદ તો સુચના આપી જતા રહ્યા. અર્જુન ભાગ્યો, એના પ્રિય સખા, ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ મુશ્કેલીમાં હતા. એક વૃક્ષ નીચે પગમાં કોઈ અજાણ્યા શિકારીએ ભવિષ્યના ભગવાનને પશુ સમજી પગમાં મારેલા બાણને લીધે અત્યંત લોહી વહી જવાથી મરણતોલ હાલતમાં હતા. ભવિષ્યમાં અજરાઅમર તરીકે લાખો વર્ષ પૂજાતા રહેવાના હતા, પણ હાલ મરણાસન્ન હતા તેવા કૃષ્ણને મળવા અર્જુન આતુર હતો. આ અર્જુન મહાભારતનો અદ્વિતીય અજેય યોદ્ધો, એના સારથિ સલાહકાર કૃષ્ણ જેના લીધે, જેમની વાતો લખીને ભારતને ભવિષ્યમાં ૫૦૦૦ વર્ષ પછી પણ મહાન પદ્મશ્રી એવોર્ડ વિજેતા તત્ત્વચિંતકો મળવાના હતા, એ કૃષ્ણને છેલ્લી વાર મળવા દોટ મૂકી રહ્યો હતો.

કૃષ્ણ ઘાયલ પગને બીજા પગ પર ચડાવીને વૃક્ષ નીચે બેઠા હતા. સર્જરી કરીને ટાંકા લઈને બચાવી લે તેવા શુશ્રુતને જન્મ લેવાને હજુ ઘણી વાર હતી. કૃષ્ણ અર્જુનને જોઈ હરખાઈ ગયા કહે મને છેલીવાર સરસ મજાનું હગ(આલિંગન) આપી દે. અર્જુનને નારદની સૂચના યાદ હતી તેણે સ્પર્શ કરવાની એજ યુજુઅલ ભારતીયની જેમ ના પાડી દીધી ભવિષ્યમાં તો ભવિષ્યમાં પણ બદનામ થવાનું ના પાલવે. કૃષ્ણ પણ ચાલાક હતા કહે કોઈ વાંધો નહિ ખાલી તારા બાણ વડે મારા આ ‘ઘા’ ને જરા ખોતરી આપ બહુ ખંજવાળ આવે છે. અર્જુનને થયું ક્યા જાતે સ્પર્શ કરવાનો છે? એના બાણ વડે પારધી વડે કરાયેલા ઘા ને ખોતરી આપ્યો. બસ એટલામાં કૃષ્ણ એમની રમત રમી ગયા.

યાદવોનો એડલ્ટ પુરુષવર્ગ તો નાશ પામી ચૂક્યો હતો. બાળકો અને યાદવોની વિધવાઓને લઈને અર્જુન હસ્તિનાપુર તરફ જઈ રહ્યો હતો. એનું અજેય ગાંડીવ એની પાસે હતું. પણ રસ્તામાં કાબા જાતિના લુટારુ મળી ગયા અને અર્જુનને લુટી ગયા. કહેવાય છે બાણ વડે કૃષ્ણના ઘાવને ખોતરતા માયાવી કૃષ્ણે અર્જુનના બાણમાંથી રહસ્યમય શક્તિઓ શોષી લીધી હતી હવે બાણ કોઈ કામનું રહ્યું નહોતું. સમય બળવાન છે માણસ નહિ. કૃષ્ણની આ શીખ આપણે હજુ યાદ રાખતા નથી.

કાબાનો તળપદી ભાષામાં એક અર્થ ચતુર પણ થાય છે. નરેન્દ્ર મોદી રાજકારણમાં કાબો ગણાય છે તો અર્જુને કાબાને પછાડ્યો કે તુચ્છ ગણાતા એવા કાબા કેજરીવાલે મોદી જેવા મહારથી અર્જુનને લુટી લીધો દિલ્હીની ચૂંટણીમાં કહેવું મુશ્કેલ છે. પણ એક વાત ચોક્કસ છે કે હવે જનતા બહુ હોશિયાર થઇ ગઈ છે, તમારી રેલીઓમાં આવશે, તમારો દારુ પી જશે, તમારી વહેચેલી ભેટ સોગાદો ખાઈ જશે પણ વોટ તો એના ગમતાને જ આપશે. હું તો કાયમ લખતો હોઉં છું કે તમારા ન્યુરોન્સ ઉપયોગમાં લો, એને જાગૃત કરો આ નેતાઓ વચનો આપે તેના પર ભરોસો કરશો નહિ, એ પછી કેજરીવાલ હોય કે મોદી.

કાળા નાણા અને ભ્રષ્ટાચારને મુદ્દે તમામ નેતાઓ વચનો આપતા હોય છે. પણ પ્રજાએ સમજી લેવું જોઈએ કે આ ઠાલાં વચનો જ છે. કરપ્શન આપણી સંસ્કૃતિ છે. કરપ્શન ઈઝ સર્ક્યુલેટેડ ઇન અવર બ્લડ. મને મારું કરપ્શન જરાય દેખાય નહિ સામેવાળાનું જ દેખાય તે હકીકત છે. સવારે પહેલા ઉઠીને ભગવાન સામે પ્રસાદ ચડાવી પ્રાર્થના કરીને આપણા ભ્રષ્ટાચારની શુભ સવાર શરુ થાય છે ત્યાં દેશમાંથી કરપ્શન દૂર કરવાની કે થવાની આશા રાખશો જ નહિ અને એવી આશા કોઈ બંધાવે તો માનશો જ નહિ. આમ આદમીથી માંડીને અંબાની સુધીના આપણે સહુ કરપ્શનમાં રચ્યા પચ્યા જ રહીએ છીએ. કરપ્શનનો એક જ ઉપાય છે તેને કાયદેસર બનાવી દો.

મોદી બહુ સારા રાજકારણી છે, હવે સારા રાજકારણીની વ્યાખ્યા દરેકની અલગ હોય તે વાત જુદી છે. પ્રેમ અને યુદ્ધમાં બધું વાજબી છે એ મુજબ ચૂંટણી જીતવી એક જાતનું યુદ્ધ જ છે. અને એ યુદ્ધ જીતવા બધા રાજકારણીઓ બધું ગેરવાજબી કરતા હોય છે, જે વાજબી ગણાતું હોય છે. પણ દરેકની એક લીમીટ હોય તેમ ગેરવાજબી કરવાની પણ એક લીમીટ હોય. ભાજપને અઢળક વોટ મળ્યા તેમાં ભાજપની સફળતા કરતા કોંગ્રેસની નિષ્ફળતા વધુ કામ કરી ગઈ હતી. પ્રજાને કોઈ વિકલ્પ જોઈતો હતો અને અને ભાજપા સિવાય બીજો કોઈ વિકલ્પ જડતો નહોતો. એમાં મોદીના કરિશ્મા કરતા કરિશ્મા ગુમાવી ચૂકેલી કોંગ્રેસની નેતાગીરી વધુ જવાબદાર હતી.

પક્ષ મહાન એના કાર્યકરોથી હોય છે. આખી જીંદગી જાત ઘસી નાખી હોય પક્ષ માટે એવા પક્ષના નિષ્ઠાવાન પાયાના કાર્યકરો અને પાયાના નેતાઓની અવગણના કરવી અને કદી વફાદાર રહેવાના નાં હોય એવા પાટલી બદલુઓને ફક્ત ચૂંટણી જીતવાનો એજન્ડા લક્ષમાં રાખી માથે ચડાવીએ તો લાંબા ગાળે બહુ મોટું નુકશાન કરે જ. જેમ સારો અર્થશાસ્ત્રી સારો વડાપ્રધાન સાબિત થતો નથી તેમ સારી પોલીસ ઓફિસર ચૂંટણીજીતું સાબિત થાય તે જરૂરી નહોતું. કિરણ બેદી જરૂર સારું કામ કરી શક્યા હોત પણ સારું કામ કરવા માટે સત્તા પર આવવું પણ જરૂરી હતું. અને તે માટે ચૂંટણી જીતવું જરૂરી હતું. આખી જીંદગી ઉચ્ચ પોલીસ ઓફિસર તરીકે કામ કર્યું હોય એટલે સ્વાભાવિક તોછડાઈ અને આપખુદ હોય. મોદી ભલે ભાષણો કરતા અતિશય નમ્ર લાગતા હોય એમની તોછડાઈ અને આપખુદ વલણ તો એમની સાથે રોજ કામ કરતા લોકોને જ ખબર હશે. પણ તે ગ્રેટ અભિનેતા છે. અને એ પણ હકીકત છે કે આપખુદ બન્યા વગર નીચેના માણસો પાસે તમે જરૂરી કામ લઈ પણ નાં શકો.

ખેર! અમે નાના હતા ત્યારે ઉતરાણ ઉપર હું જોતો કે અમુક પતંગ આકાશમાં એટલા બધા ઉંચે હોય કે કપાયા પછી વધુ ને વધુ ઉપર જતા હોય. અમારો મિત્ર રાજુ બ્રહ્મભટ્ટ કહેતો કે આ પતંગ બીનહવામાં જાય છે. મતલબ હવા નાં હોય તેવા આકાશના ઉપરના ભાગે જતો જાય છે. હવે ભાગ્યેજ ધરતી પર પાછો આવે. એટલે પતંગ એટલો બધો દોર છોડીને ઉંચો ચગાવવો નહિ કે કપાયા પછી બીનહવામાં જતો રહે. પ્રજાએ વોટ આપ્યા છે છાપરે ચડી પતંગ બીનહવામાં ચગાવવા માટે નહિ. પ્રજાએ વોટ આપ્યા છે ધરતી સાથે જોડાયેલા રહીને આમ આદમીના કામ કરવા માટે, આમ આદમીની વ્યથા સમજી એમને જીવવા સહારો આપવા માટે.

આમ આદમીનું કામ કરવા થોડા વિશિષ્ટ આદમી બનવું જરૂરી છે. આશા રાખીએ મોદી જરા છાપરેથી નીચા ઊતરે અને કેજરીવાલ થોડા વિશિષ્ટ બને. બંને માટે ભારતની જનતાને બહુ મોટી આશાઓ છે. એમાં બંને ખરા ઊતરે તેવી શુભેચ્છાઓ..

કાળા મરી: ભક્તિસંપ્રદાયે ભારતની ઘોર ખોદી છે. કોઈના પ્રશંસક બનવું જરાય ખોટું નથી પણ ભક્ત અને તે પણ અંધ ભક્ત બનવું તે ભક્ત અને એના ભગવાન બંને માટે નુકશાનકારક છે.

 

અઢી ટ્ન હુખડનું દૉન (રેડબડ ગામગપાટા ન્યુ જર્સી-૮)

 અઢી ટ્ન હુખડનું દૉન  (રેડબડ ગામગપાટા ન્યુ જર્સી-૮)untitled

અમારી ગપાટા મંડળીમાં આજે હું શાંતિભાઈ, અંબુકાકા અને બીજા મિત્રો સાથે મારા રેડીઓ પર થયેલા વાર્તાલાપ વિષે વાત કરતો હતો. રેડીઓ ઉપર એક ગુજરાતથી આવેલા મહેમાન કિરીટભાઈ સાથે ટેલીફોનીક વાત થઈ હતી. તેઓ રેશનાલીસ્ટ છે અને વિજ્ઞાનજાથા સાથે જોડાયેલા છે. ચમત્કાર કરતા લોકો વચ્ચે જઈને પડકારે છે. વિજ્ઞાન દ્વારા એમના તુત ખુલ્લા પાડવાનું કામ કરે છે. પોતાના પૈસે પેટ્રોલ બાળીને સ્કૂલોમાં જઈને પ્રોગ્રામ કરે છે. મૂળ અમારું ગામ આમ તો મહેસાણા જીલ્લામાં જ હતું. હવે જિલ્લો ગાંધીનગર થઈ ગયો છે. મને મહેસાણી લહેકામાં બોલવાની મજા આવે છે. રેડીઓ પર અંધશ્રદ્ધાની વાત નીકળી હતી. આપણા પ્રધાનમંત્રીએ ૨૪૦૦ કિલો ઘી અને ૨૫૦૦ કિલો સફેદ સુખડનું લાકડું નેપાળના પશુપતિનાથ મંદિરમાં ભેટ ચડાવ્યું તો સામાન્ય લોકોમાં એની અસર રૂપે અંધશ્રદ્ધાને આમ ટેકો મળે કે નહિ ? આવો પ્રશ્ન કરતા કિરીટભાઈ કહે,

ચોક્કસ અસર પડે. મોટા માણસો જે કરે વાજબી હોય તેમ સમજી સામાન્યજન પર એની અસર પડે જ.  

અંબુકાકા આમ તો ધાર્મિક માણસ છે પણ કહે,

‘અંધશ્રદ્ધાની વાત બાજુ પર મુકો તો પણ ૨૫૦૦ કિલો સુખડ એટલે ૨.૫ ટન લાકડું થયું તેના માટે ઓછામાં ઓછું એક અને કદાચ બે સુખડના વૃક્ષોનો ખોડો નીકળી ગયો કહેવાય.’

શાંતિભાઈ છે સૌરાષ્ટ્રના પણ કોઈવાર મારી મજાક કરતા બોલવામાં અમારો મેહોણી લહેકો લાવી દેતા હોય છે તે કહે, ‘ મોદીએ દિયોર અઢી ટન હુખડનું દૉન આલવામાં બે હુખડના ઝાડની માં પૈણી નૉખી. ઑમેય હુખડનું ઝાડ લુપ્ત થતી ઝાડની જાતિ સઅઅ ક નઈ?

મે કહ્યું,  ‘હાચી વાત સઅઅ.. હુખડનાં ઝાડ બૌ ર યૉ નહિ.. આ હુખડની માં પૈણ્યા વગર રોકડા ૪ કરોડ રૂપિયા ચ્યૉ નહિ આલી દેવાતા ?

મહેસાણી લહેકો સાંભળી બધા જોરથી હસી પડ્યા. હવે અંબુકાકા અમારી નકલ કરતા મેદાનમાં આવ્યા. ‘દિયોર પણ ચાર કરોડ લાયો ચૉ થી ? ઈ ને સુટણી વખતે ફૉરમ ભરતાં ચાર કરોડ મિલકત તો બતાઈ નહિ..

ફરી અમે બધા હસી પડ્યા. શાંતિભાઈ કહે ચાર કરોડનું લાકડું અને આશરે ૯-૧૦ લાખનું ઘી, આ બધા પૈસા એમના ખીસામાંથી આપ્યા હોય તો વાજબી છે. બાકી એ ખર્ચ સરકારી તિજોરીમાંથી આપ્યો હોય તો પ્રજાએ ભરેલા ટેક્સના નાણા આમ વેડફવાનો મોદીને કોઈ હક નથી.

મેં કહ્યું આવું નાં બોલો આપણે મોદીના વિરોધી નથી પણ મોદીના ભક્તોની રાજકીય લાગણી અને બીજા આસ્તિક ઘેટામંડળની ધાર્મિક લાગણીઓ દુભાઈ જશે.

શાંતિભાઈ ઉશ્કેરાઈ ગયા, કહે તેલ લેવા ગઈ ધાર્મિક લાગણીઓ અમારી એ રેશનલ લાગણી દુભાઈ જાય છે તેની કોણ પરવા કરે છે ? અમારો ય જીવ બળે છે આવી અંધશ્રદ્ધાઓ જોઈ, અમારો ય જીવ બળે છે આમ પ્રજાના પૈસા વેડફતા જોઈ અમારી રીજનેબલ લાગણીઓની કોઈ પરવા કરે છે ? અમારે જ કાયમ એમની ઇરેશનલ અંધ લાગણીઓની ચિંતા કરવાની ? આ બાવાઓ સ્ત્રીઓનું શારીરિક શોષણ કરે ત્યારે અમારી લાગણીઓ દુભાઈ જાય છે તેની કોણ પરવા કરે છે ? અરે એક કણજીનું કે એક ખીજડાનું ઝાડ કપાય તો પણ અમારી લાગણી દુભાઈ જાય છે ત્યારે આતો સુખડનું કીમતી ઝાડ કપાઈ જાય છે તો અમારી લાગણી દુભાઈ કેમ નાં જાય ? ભારત સરકારે ખુદ સુખડના લાકડાની નિકાસ કરવા ઉપર મનાઈ ફરમાવેલી છે જ. કર્ણાટક રાજ્યમાં સુખડનાં તમામ વૃક્ષ રાજ્ય સરકારની મિલકત ગણાય છે. તમારી પ્રાયવેટ પ્રોપર્ટીમાં ઉગાડેલ સુખડનાં ઝાડની કાપકૂપ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની દેખરેખ નીચે જ થાય. ચંદનચોર તરીકે ઓળખાતો વિરપ્પન ગેરકાયદે ચંદનનાં વૃક્ષો કાપી વેચી નાખતો હતો.

મેં કહ્યું શાંતિભાઈ શાંત થઈ જાઓ, આ અમેરિકનો ક્રિસમસ વખતે ક્રિસમસના અસંખ્ય વૃક્ષો કાપીને ઘરમાં સજાવટ કરે છે.

ફરી શાંતિભાઈ ઉશ્કેરાઈ ગયા અને કહે, અમેરિકનો અગાઉથી પ્લાનિંગ કરે છે, આ વર્ષે જો એક લાખ ક્રિસમસનાં વૃક્ષો કપાઈ જવાની શક્યતા હોય તો એ લોકો અગાઉથી એટલા વૃક્ષો ઉછેરીને તૈયાર રાખે છે. ક્રિસમસનાં વૃક્ષોનું અહી આપણી ખેતી જેવું છે. જેટલી જરૂરીયાત હોય તેટલી ખેતી અગાઉથી કરી નાખવાની.

મેં કહ્યું વાત તો સાચી છે. જંગલ કોને કહેવાય તે મેં આ દેશમાં આવીને જોયું. આપણે ત્યાં કૂતરાં ગાડીઓ નીચે આવીને મરી જતા હોય છે. જ્યારે અહીં હરણ ઓચિંતા ગાડીઓ સામે આવી જાય છે.

હવે અમ્બુકાકાનો વારો આવ્યો તે કહે એડ્યુકેશનનાં અભાવે લોકો બહુ અંધશ્રદ્ધાળુ હોય છે તેવું મારું માનવું છે.

મેં કહ્યું તદ્દન ખોટી વાત છે, આજે જ મારા એક સુજ્ઞ ફેસબુક મિત્ર વડોદરાના દિલીપકુમાર મહેતાએ એક બીજા મિત્રની પોસ્ટ નીચે વિચારવા જેવો પ્રતિભાવ મુક્યો હતો, ઉભા રહો મારા આઈફોનમાં ખોલીને વાંચી બતાવું.

મેં મારા આઇફોનમાં ફેસબુક ખોલીને દિલીપકુમાર મહેતા સાહેબનો પ્રતિભાવ વાંચવા માંડ્યો. દિલીપભાઈ લખે છે,                

“લગભગ પાંચ વર્ષની વયે મને અને મારી મોટી બહેનને એકી સાથે શીતળાનો રોગ થયેલો… બચી ગયા ! આ દેશમાં જેટલા માથા એટલા માતાજી છે, પથ્થર એટલા દેવ છે, અને હવે જ્યોતિષીઓ, વાસ્તુ શાસ્ત્રીઓ નગરી નગરી દ્વારે દ્વારે છે. સાહેબ, કાલે હું વડોદરામાં જ્યોતિષ અને વસ્તુ શાસ્ત્રનો ધંધો શરુ કરું તો બે -ત્રણ વર્ષમાં ૫૦ લાખ -કરોડની કમાણી સહેલાઈથી થઇ શકે તેમ છે. ઉના, મહુવા ,રાજુલાના ઘણા ગરીબ બ્રાહ્મણો અહી આવીને બે પાંદડે જ નહિ , પાંચ પાંદડે થયા છે ! પ્રશ્ન એ છે કે જે લોકો ઉચ્ચ શિક્ષણ પામેલા છે, વૈજ્ઞાનિક અભિગમ ધરાવે છે, વાત વાતમાં વિજ્ઞાનની વાતો કરે છે, એ બધા આવા પોકળ પંડિતો આગળ કેમ ખોળો પાથરે છે ? વાસ્તુશાસ્ત્રીઓ, જ્યોતિષીઓ, તાંત્રિકોના ઘરના પગથીયા કેમ તેઓ સાવ ઘસી નાખે છે ? શું એમને ખબર નથી કે કહેવાતા જ્યોતિષીઓ માત્ર તુત ચલાવે છે ? આ બાબતમાં નરેન્દ્ર મોદી પણ અપવાદ નથી, બોલો શું કહેશો પેલા ગામડાના ભોળા ખેડૂતને ? ભલા માણસ, ઉપગ્રહો છોડવા માટેના પણ શુભ મૂહર્ત જોવાના ? ગામડા કરતા મને શહેરના લોકો એક સો ગણા અંધશ્રદ્ધાળુ લાગ્યા છે ! આજે હું જ્યોતિષનો વિરોધ કરું છું ત્યાં પ્રકાશ કોઠારી, કાંતિ ભટ્ટ જેવા મને મુરખો ગણે છે ! જ્યોતિષના વિરોધી સૌરભ શાહ પણ જેલવાસ ભોગવ્યા બાદ એક જ્યોતિષ પાસે આંટો મારીને આવેલા તેવું સાંભળ્યું છે ! ઓક્સફોર્ડમાં ભણેલા ઈન્દિરાજી નંબર વન તાંત્રિક પ્રેમી અને જ્યોતિષ પ્રેમી હતા. આ બધા કરતા મને મારા પિતાજી બહુ ગમ્યા. એમની પાસે ગામની કોઈ સ્ત્રી આવતી અને પોતાની સમસ્યા રજુ કરતી ત્યારે કહેતા, બેન, હું કઈ જાણતો નથી, બધું ઈશ્વરનું જ ધારેલું થાય છે, બસ મારા પિતાનો આ મંત્ર મેં જીવનમાં પૂરે પૂરો ઉતાર્યો છે.”

મેં વાંચવાનું પૂરું કર્યું અને બધા સામે જોવા લાગ્યો. અંબુકાકા બોલ્યા કાનની બુટ પકડું છું દિલીપભાઈની વાત તદ્દન સાચી છે, પણ આ પ્રકાશ કોઠારી, કાંતિભટ્ટ અને સૌરભ શાહ છે કોણ?

મેં કહ્યું, ‘પ્રકાશ કોઠારી સેક્સોલોજીસ્ટ સેક્સ વિષે વૈજ્ઞાનિક સમજ આપતી કોલમ લખતા, જ્યારે કાંતિભટ્ટ અને સૌરભ શાહ બંને છાપાઓમાં લખતા કટાર લેખકો છે.’

પણ આ સૌરભ શાહ જેલમાં ગયેલા તેવું કેમ લખ્યું છે ?

એ મને ખબર નથી એ બાબતે દિલીપભાઈને પૂછવું પડે.

શાંતિભાઈ કહે ગરીબની વહુ સહુની ભાભી, ગરીબની શ્રદ્ધા અંધશ્રદ્ધા કહેવાય જ્યારે અમીરની કે મોટા માણસોની અંધશ્રદ્ધા ભક્તિભાવ કહેવાય, અધ્યાત્મ કહેવાય, જેટલો એમાં વધારે ગાંડા કાઢે તેટલો હંસ નહિ પણ પરમહંસ કહેવાય.

અમે બધા હસી પડ્યા. અંધારું થઈ ગયું હોવાથી બધા પોતપોતાના ઘેર જવા હસતા હસતા છુટા પડ્યા.   

શ્રાવણ મહિનો આવે એટલે શ્રદ્ધાના મહાપુર શરુ

શ્રાવણ મહિનો આવે એટલે શ્રદ્ધાના મહાપુર શરુ.images2QB2A0IP

અલ્યા હવે વૃક્ષ બહુ રહ્યા નથી, એમાય બીલીના વૃક્ષ ભાગ્યેજ દેખાય છે. બીલ્વાદીચુર્ણ બનાવવા માટે પણ હવે આ વૃક્ષો ઝાઝા વધ્યા નથી. શંકરનાં કોન્સેપ્ટને સમજવાનું તો બાજુ પર રહ્યું પણ એના પ્રતિક એવા શિવલિંગ ઉપર લાખો બિલીપત્ર ચડાવીને બીલીના વૃક્ષનો ખોડો કાઢી નાખવાનું પાપ તે પાછું શ્રદ્ધાના નામે કરવાનું શરુ થઈ જવાનું. લાખો લીટર દૂધ ગટરમાં વાયા શિવલિંગ વહાવી દેવાનું શરુ. અને જો તમે આવી અક્કલહીન વાતોને વખોડો તો પોતાને મુર્ખ તરીકે ઓળખાવામાં ગર્વ સમજતી પ્રજાતિનાં સભ્યો તરત તૂટી પડશે તમારા ઉપર. બુદ્ધિશાળીઓને ગાળો દઈને પોતાને દેશભક્ત અને ધાર્મિક ગણાવતી પ્રજાતિનાં સભ્યો તમારા ઉપર તૂટી પડશે. તર્ક અને બુદ્ધિગમ્ય વાત કરનારને ગાળો દેવાની નવી ફેશન છે. બુદ્ધિજીવીને સરાહનારી બાકીની દુનિયા સામે આ એક જ એવો અજીબોગરીબ દેશ છે જ્યાં બુદ્ધિજીવીને ગાળ દેવામાં લોકો ગર્વ અનુભવી પોતે મહાન છે તેવા મુર્ખ સપનામાં રાચે છે. એમાય જો તમે NRI હોવ તો ખલાસ, તમારું આવી જ બને. તમને કોઈ હક નહિ તમારા મૂળ દેશ વિષે બોલવાનો જ્યાં હજુ તમારા મુળિયા દટાયેલા છે, જ્યાં હજુ તમારા માબાપ ભાઈ-ભાંડુ અને મિત્રો રહે છે, હજુ તે દેશની વિચારધારા અને સંસ્કૃતિ ખૂન બનીને તમારી નસોમાં વહે છે. કારણ તમે તમારા પૂર્વજોની જેમ કમાવા માટે આગળ ધપતા રહીને સર્વાઈવ થવાની બેસિક ઇન્સ્ટીન્કટ ને અનુસર્યા છો.

મુરખોને ખબર નથી કે આખી દુનિયામાં માનવી આફ્રિકાથી ફેલાયો છે તે હવે સાબિત થઈ ચુક્યું છે. સમયની બાબતમાં ભલે મતભેદ હશે પણ માનવ આફ્રિકામાં ઉત્ક્રાંતિ પામ્યો અને ત્યાંથી જ આખા વિશ્વમાં ફેલાયો છે તે હકીકત છે. આશરે ૨૫ લાખ વર્ષ થયા માનવીનાં બહુ જુના મોડેલને ઉત્ક્રાંતિ પામે. ચિમ્પેન્ઝી અને બોનોબોના કાકા કે મોટાબાપા આપણા પૂર્વજ હતા ચિમ્પેન્ઝી નહિ. ચિમ્પેન્ઝી થી ભલે જુદા પડ્યા પણ આશરે ૫ લાખ વર્ષ તો વૃક્ષો ઉપર હુપાહુપ જ કરેલું. પછી ધીમે રહીને નીચે ઉતર્યા. આમ પહેલો દ્રોહ તો આપણને પોષનારા વૃક્ષો છોડી વૃક્ષદ્રોહ કર્યો. જમીન પર નીચે ઉતરીને વિકસતા વિકસતા આગળ પણ વધતા જ રહ્યા. આમ આફ્રિકા છોડી દેશદ્રોહ અને આફ્રિકા નામધારી ખંડનો દ્રોહ પણ કરી નાખ્યો. માનવનૃવંશ શાસ્ત્રીઓ કહે છે માનવ દર વર્ષે એક માઈલ આગળ ધપ્યો છે. અને આમ આગળ ધપતા ધપતા આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. આમ જે તે જગ્યા છોડી એનો દ્રોહ કરવો આપણા લોહીમાં જિન્સમાં છે અને એમ નાં કરો તો વિકાસ પામો નહિ. કહેવાતું વતન છોડી આગળ ધપતા રહેવું તેને દ્રોહ કહેનારાઓએ આફ્રિકા પાછા જઈને વૃક્ષો પર હુપાહુપ કરવાનું શરુ કરી દેવું જોઈએ.

પહેલા મુંબઈ કમાવા જવાનું પણ પરદેશ ગયા હોઈએ તેવું લાગતું. અને મુંબઈ થી ગુજરાત આવાનું હોય તો મિત્રોને કહીએ કે દેશમાં જાઉં છું. આમ આપણે કુટુંબદ્રોહ, ફળિયાદ્રોહ, ગામદ્રોહ, તાલુકાદ્રોહ, જીલ્લાદ્રોહ, રાજ્યદ્રોહ, અને છેવટે દેશદ્રોહ સાથે ખંડદ્રોહ વગરે વખતોવખત કરતા જ આવ્યા છે.

ધર્મ શું છે? દુધ કે તેલનો બગાડ કરવામાં જ આ લોકોનો ધર્મ સમાઈ ગયો છે. હહાહાહાહા ટંકારા નો એક બામણ શિવના મંદિરમાં બેઠો બેઠો વિચારતો હતો કે આ કેવો શિવ? પોતાના ઉપર ફરતા ઉંદરને હટાવી શકતો નથી? અને એણે ના વિચારવાની બહુમત વસ્તીમાં વિચારવાનું શરુ કર્યું, ને બન્યો સ્વામી દયાનંદ પણ પ્રજાના મનમાં બેવકુફીઓ અને અક્કલ વગરની વાતોને ધર્મ તરીકે ખપાવી દઈને એમાં શ્રદ્ધાના વાવેતર કરી મફતમાં વગર મહેનતે રોટલા રળતા બિજનેસ મેનોએ એને લાડવામાં ઝેર આપી મારી નાખ્યો. કેમકે તે આવી મુર્ખ વાતોને વખોડતો હતો.. એક દાખલો આપું. સોમનાથના બ્રાહ્મણો વર્ષો થી લાખો બીલીપત્રોને હજારો લીટર દૂધ શિવજી પર વેડફતા હતા પણ જ્યારે ગઝની ચડી આવ્યો ત્યારે બ્રાહ્મણો શિવજી ત્રીજું નેત્ર ખોલે તેની રાહ જોતા રહ્યા પણ શિવે જરાય મદદ કરી નહિ અને ઉલટાના ગઝનીના મહેલના પગથીયે ચણાઈ જવાનું પસંદ કર્યું.. ક્યા ગઈ અખૂટ શ્રદ્ધા? કરોડો જ કેમ નથી કરતા? મૂર્ખાઈ તો મૂર્ખાઈ જ છે.

 

યજ્ઞોમાં બલિદાન આપનારા, નાળીયેર વધેરનારા, કોળા વધેરનારા, બકરા-ઘેટાની કુરબાની આપનારા, નાના બાળકોની બલી ચડાવનારા, બધાની બ્રેન સર્કીટ સરખી જ કામ કરતી હોય છે. માનવ સમુહમાં રહેવા ઇવોલ્વ થયેલો છે અને સમૂહનો એક લીડર હોય અને તે લીડરને ખુશ રાખવો જરૂરી હોય છે. એને ગીફ્ટ આપવી પડે, બહુ ખુશ કરવો હોય તો પોતાની વહાલી વસ્તુ આપો એટલે તે પ્રભાવિત થઇ જાય. મુશ્કેલ સમયમાં લીડર સમુહને દોરવણી આપતો હોય બચાવતો હોય. એની પૂરી કિંમત વસૂલતો પણ હોય છે. ઘણીવાર નહિ બલકે મોટાભાગે વધુ પડતી વસુલાત કરી લેતો હોય છે જેને શોષણ કહેવાય. બસ આ જ બ્રેન સર્કીટ ભગવાનની કલ્પનામાં કામ કરતી હોય છે. વાતો ભલે ઈશ્વર અલ્લાહ એક જ છે તેની કરીએ પણ મેમલ બ્રેન માટે લીડર જુદા જુદા હોય તેમ ભગવાન પણ જુદા જુદા અને માનવ લીડર જેવા જ રહેવાના. તેઓને ખુશ કરવા પ્રસાદ ચડાવો, ગીફ્ટ આપો બાધા રાખો, કુરબાની આપો, બલિદાન આપો. બાકી જેણે જગત રચ્યું છે તેને તમારા ફેઈથ, શ્રદ્ધા, ભક્તિ વગેરેના પ્રમાણ કે સાબિતી, બલિદાન કે કુરબાની કે પ્રસાદની શું જરૂર? તમે આ બધુ નહિ કરો તો પણ એ તો એનું કામ કરવાનો જ છે. ભગવાન કે અલ્લાહને આપણે એના ખરા અર્થમાં માનતા જ નથી. એ આપણા માટે એક ગ્રીડી નેતા જેવો જ છે. એટલે કહું છું બધા આપણા બ્રેનના જ ગતકડા છે.

પેલી દલા તરવાડીની વાર્તા યાદ છે ને? નવી પેઢીના યુવાનોને નહિ ખબર હોય ચાલો ટૂંકમાં કહી દઉં. દલા તરવાડી રીંગણનાં ખેતરમાં ગયેલા. ખેતર માલિક હાજર હતો નહિ એટલે માલિકને પૂછ્યા વગર રીંગણા તોડવા મોરાલીટી વગરનું કહેવાય. હવે માલિક હતો નહિ તો પૂછવું કોને ? એટલે એમણે તોડ કાઢ્યો અને બુમ પાડી કે રીંગણા લઉં બેચાર? અને જાતે જ જવાબ આપ્યો બેચાર શું કામ લઈ લે દસબાર. પૂછવાની નૈતિકતા આમ સચવાઈ ગઈ ને કામ થઈ ગયું. આપણે બધા દલા તરવાડીઓ છીએ. જાતે જ ભયના માર્યા રડીએ છીએ અને જાતેજ આકાશવાણી કરીને ઉપાય શોધી કાઢીએ છીએ. આપણું જ બ્રેન આપણા સવાલોના જવાબ આપતું હોય છે. બાકી કોઈ નવરું નથી કુરબાની કે બલિદાન માંગવા. વેજીટેરીયન હોય તે નાળીયેર વધેરે કોળું કાપે અને નોન-વેજી બકરું કાપે શું ફરક પડ્યો? નાળીયેરની ચોટલી શું કામ રાખીએ છીએ? નાક જેવું લાગે ઉપર બે આંખો, માથાં જેવું લાગવું જોઈએ ને? હવે તલવારથી વધેરવું હોય તો નાળીયેર જરા કાઠુ પડે તો મુકો કોળું ફસ દઈને જુદું..

અલ્યા મુરખો શંકર આખો દિવસ ધ્યાનમગ્ન રહેતા હતા. ૨૪/૭ મેડીટેશન કરતા હતા. એમાં એમનું આજ્ઞાચક્ર ખૂલેલું હતું તેને ત્રીજું નેત્ર કહેવાય. આપણને નાં સમજાય તે તેને સમજાતું હતું, દેખાતું હતું. બીજો અર્થ એવો પણ નીકળે કે કુદરતના સર્જનાત્મક અને વિસર્જનાત્મક પરિબળો ને શંકર કહેવાય, એ કોઈ હિમાલયમાં વાઘનું ચામડું પહેરીને ફરતો નથી. આપણે સ્ટોરી ટેલીંગ ચિમ્પેન્ઝી છીએ. વાર્તાઓ ઘડીને કહીને કશું શીખવનારા. ગ્રીક માઇથોલજિ હોય કે હિંદુ કે બાયબલની વાર્તાઓ બધે આપણે વાર્તાઓ માંડી છે. એમાં ઐતિહાસિક તથ્યો હોય પણ ખરા અને નાં પણ હોય.

એક હરણ યુગલ સંભોગ જેવા પવિત્રતમ કાર્યમાં રત હતું, અને પાંડુ રાજાએ તીર મારી શિકાર કરી નાખ્યો. મરતા યુગલે શ્રાપ આપ્યો કે તું હવે સંભોગમાં રત થઈશ તે ક્ષણે તારું મોત થશે. વાર્તા સાચી છે કે નહિ તે બાજુ પર મુકો મેસેજ સરસ છે. કોઈ પ્રેમી યુગલ પ્રેમ કરતુ હોય ત્યાં ભંગ પડાવવા નાં જવાય. ટીકી ટીકી ને જોઈ નાં રહેવાય. જ્યાં એક નવા જીવના અવતરણ માટે કામ થઈ રહ્યું હોય ત્યાં ભંગ પાડવો પાપ કહેવાય. પાંડુ ને વળી બે પત્નીઓ હતી. રિસ્ક વધારે હતું, ડબલ રિસ્ક. કુંતી તો દૂર જ ભાગતી હતી. પણ માદ્રી યુવાન હશે પાંડુ તો કાબુ રાખી શક્યો નહિ માદ્રી પણ રાખી શકી નહિ હોય. સંભોગમાં રત થઈ ગયા ને પાંડુનું મૃત્યુ થયું. પાંચ પાંડવોનાં ફાધરની વાત કરું છું. ઘણા ને ખબર હોતી નથી એટલે ચોખવટ કરી. શિવલિંગ અને જલાધારી તે શંકર પાર્વતીના (સ્ત્રી-પુરુષના) જાતીય અંગો છે. સર્જનમાં વ્યસ્ત છે એના પર દૂધ રેડવા જઈને ભંગ પડાવશો નહિ. કુદરતના રાજમાં ક્યાંક ને ક્યાંક સતત સર્જન અને સતત વિસર્જન ચાલતું જ હોય છે. એમાં આડે આવવું નહિ. શંકરની જેમ મેડીટેશન કરો તો બ્રેનમાં ગ્રે મેટર વધશે. લાગણીઓ પર તર્ક અને બુદ્ધિનો કાબુ વધશે તો પોજીટીવ લાગણીઓ વધશે, નેગેટીવ લાગણીઓ ઓછી થશે, ભય ઓછો થશે, તો ભગવાન અને ભૂત બંને ભાગી જશે. તમને ખબર નહિ હોય મેડીટેશન કરવાની ૧૦૮ પદ્ધતિઓની શોધ આ શંકરના નામે બોલે છે.

સમુહવાદ-જાતિવાદ

સમુહવાદ-જાતિવાદ untitled

હમણા એક રશિયન ટેનિસ પ્લેયર શારાપોવાએ કહ્યું કે હું સચિનને ઓળખતી નથી એમાં બહુ મોટી ધાંધલ થઈ ગઈ, સચિનભક્તો ઉકળી પડ્યા ગાળાગાળી પર ઉતરી પડ્યા. સ્વાભાવિક છે કે એક રશિયન ક્રિકેટ કે ક્રિકેટ પ્લેયર વિષે બહુ જાણતી નાં હોય કે બિલકુલ જાણતી નાં હોય.

હમણા કહેવાતા શંકરાચાર્યે સાઈબાબા કોઈ ભગવાન નથી એમની પૂજા કરવી નકામું છે આવા મતલબનું કશું કહ્યું હશે તો સાઈબાબાના ભક્તો તૂટી પડ્યા એમની ઉપર. શંકરાચાર્ય વળી મોદી વિરોધી છે એ મુદ્દો પાછો આમાં બહુ મોટો ભાગ ભજવી જાય છે. મતલબ મોદી ભક્તો ઓર જોરથી એમની ઉપર એટેક કરવાના. હમણા એક નેતાએ નિવેદન કર્યું કે સેક્સ એજ્યુકેશનને બદલે યોગા શીખવવો જોઈએ તો સેક્સ એજ્યુકેશનની તરફેણ કરનારા એમની ઉપર તૂટી પડ્યા મારા સહીત. તો સેક્સ એજ્યુકેશનનો વિરોધ કરનારા વળી કાઉન્ટર ગોળીબાર કરતા તરફેણ કરનારા ઉપર તૂટી પડ્યા.

હમણા ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ સ્પર્ધા ચાલી રહી છે. જે તે દેશની તરફેણમાં હોય તેવા લોકો તે દેશની ટીમ હારતી હોય તો એમના મોતિયા મરી જાય છે. એક જબરદસ્ત ફૂટબોલ મેનીયા હાલ ચાલી રહ્યો છે. આવો ક્રિકેટ મેનીયા ભારતમાં IPL વખતે ચાલતો હોય છે. કેળાની અમુક ખાસ જાતમાં બીટા કેરોટીન(વિટામીન A) હોય છે. હવે કેળાની આ જાત બધે પ્રચલિત હોય નહિ માટે આખી દુનિયામાં કેળાની જે જાત પ્રચલિત હોય અને સૌથી વધુ ખવાતી હોય તેવી જાતમાં જિનેટિક એન્જિયરિંગ વડે પેલી બીટા કેરોટીન ધરાવતી જાતના જિન ઉમેરી દઈએ તો લાખો લોકોને અંધત્વ થી નિવારી શકાય અને જે લોકો વિટામીન A ની ખામીને લીધે મરતા હોય તેમને બચાવી શકાય યુગાન્ડા જેવા દેશોમાં જિનેટિક એન્જિનિયરિંગ વડે વિકસાવેલા ફૂડ પર પ્રતિબંધ છે. પણ આવા સુપર બનાના જેવા મુદ્દા સોકર મેનીયામાં કોઈને જણાય નહિ.

આપણે ત્યાં ક્રિકેટ મેનીયા કે ઈલેક્શન મેનીયા ચાલતો હોય ત્યારે ઘણા બધા જરૂરી મુદ્દા ભુલાઈ જતા હોય છે. આ દર્શાવે છે કે માનવજાતની કોગ્નીટીવ સિસ્ટમ સબકોન્શિયસ ઈમોશન્સ વડે વધુ દોરાતી હોય છે. જાગૃત વાસ્તવિક હકીકતોનું એનાલીસીસ બાજુ પર રહી જતું હોય છે. એનું કારણ એ હોય છે કે સબકોન્શિયસ ઇન્સ્ટીન્કટ સર્વાઈવલ સાથે જોડાયેલ હોય છે, અને સર્વાઈવલ તો બહુ મહતવની વાત છે. કારણ એ છે કે આપણે સામાજિક પ્રાણી છીએ અને આપણે મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છીએ. એટલે આપણી સબકોન્શિયસ ઇન્સ્ટીન્કટ સમૂહના સર્વાઈવલ સાથે જોડાયેલ હોય છે કારણ જે સમૂહ સાથે આપણે જોડાયેલ હોઈએ તે સર્વાઈવ થાય તો આપણે સર્વાઈવ થઈએ.

આપણે સામાજિક પ્રાણી છીએ અને આપણા સમૂહ, ટ્રાઈબ ઉપર આપણી સલામતી માટે આધારિત રહેવા ઉત્ક્રાંતિ પામેલા છીએ કારણ દર વખતે આપણે એકલા એક વ્યક્તિ તરીકે આપણી જાતનું રક્ષણ કરી શકીએ નહિ. આપણો સમૂહ જે કરતો હોય તેમાં આપણે વધારે સલામતી અનુભવી શકીએ. હવે આ જેની સાથે આપણે જોડાયેલા હોઈએ છીએ તે સમૂહ જુદા જુદા સમયે જુદા જુદા પણ હોઈ શકે. એકસાથે આપણે માનસિક રીતે અનેક સમૂહો સાથે જોડાયેલા પણ હોઈ શકીએ. ફીજીકલી આપણે એક સમૂહ સાથે જોડાયેલા હોઈએ પણ માનસિક રીતે બીજા સમૂહ ઉપર આધારિત હોઈ શકીએ. દાખલા તરીકે મારા કુટુંબ સાથે હું લોહીના સંબંધ વડે જોડાયેલો અને આધારિત હોઉં અને એક ઘરમાં ભેગો રહેતો હોઉં પણ અમુક મારા સંબંધીઓ કોઈ ધાર્મિક પંથમાં ખાસ વધુ માનતા હોય તો મારા નાસ્તિક હોવાના લીધે તેઓ તે બાબતે મારી સાથે અને હું એમની સાથે જોડાયેલ નાં હોઉં. હવે મારો જન્મ કહેવાતી રાજપૂત કોમમાં થયેલો હોય પણ અમુક સંબંધીઓ વૈષ્ણવ સંપ્રદાયમાં માનતા હોય તો તેઓ જુદી જુદી કોમોમાં જન્મેલા હોય છતાં વૈષ્ણવ સંપ્રદાયમાં માનતા લોકોનાં સમૂહ સાથે ધાર્મિક રીતે વધુ જોડાયેલ અને આધારિત હોય.

આપણે એક સાથે અનેક ટ્રાઈબ સાથે જોડાયેલા અને આધારિત હોઈએ છીએ. હું તો મારો જ દાખલો આપું બીજાનો શું કામ? હું જન્મ્યો રાઓલ ચાવડામાં એટલે મારી એક ટ્રાઈબ તે થઈ, અને માણસાનાં અભેસિંહના માઢમાં આવેલા રાઓલ્સ મારા કુટુંબીઓ એટલે તે મારી પોતાની ક્લોઝ ટ્રાઈબ થઈ, મારા ગામના નાગરીકો ભલે ગમે તે કોમના હોય પણ મારું ગામ મારી એક ઓર ટ્રાઈબ થઈ, મારા વિચારો રેશનલ એટલે રેશનાલીઝમમાં વિશ્વાસ ધરાવતા લોકોનો સમૂહ મારી અલગ ટ્રાઈબ થઈ. આવું આવું ગણો તો એક સાથે અનેક ટ્રાઈબ જેવી કે ગુજરાતી, ગુજરાતી રાજપૂત, ભારતીય, હિંદુ-નાસ્તિક, ક્રિકેટનો ફેન હોઉં તો ક્રિકેટ, સચિન ફેન હોઉં તો તે, બચ્ચન ફેન હોઉં તો તે, આમ વિધવિધ ટ્રાઈબ સાથે હું જોડાયેલ હોઈ શકું. એટલે ક્રિકેટ વિરુદ્ધ કોઈ બોલે તો તરત મને લાગે કે મારી ટ્રાઈબ પર ખતરો છે. રાજપૂત કોમ વિરુદ્ધ કોઈ બોલે તો તરત મને લાગે મારી ટ્રાઈબ પર ખતરો છે. અને મારી ટ્રાઈબનાં સર્વાઈવલ ઉપર મારું સર્વાઈવલ આધારિત છે.

ભલે મેં જીંદગીમાં હોકી સ્ટીક પકડી નાં હોય કે ક્રિકેટનું બેટ પકડ્યું નાં હોય પણ મારા ભારતની હોકી ટીમ કે ક્રિકેટ ટીમની જીતમાં મારી જીત અને હારમાં મારી હાર હોય છે. મારી પસંદની ટીમ જીતે તો એમાં મારું સર્વાઈવલ હોય છે અને હારે તો થ્રેટ.. મારી ટીમ જીતે તો ભલે મેં એમાં રતીભાર પ્રયત્ન કર્યો નાં હોય પણ હેપી ન્યુરોકેમિકલ્સનો સ્રાવ અતિશય આનંદ આપતો હોય છે અને હારે તો કોર્ટીસોલ સ્ત્રવીને ભારોભાર દુઃખ આપતું હોય છે.

  આપણે કહીએ કે આપણે બધા સરખાં છીએ. એવરીવન ઇઝ ઇક્વલ. એક ઉચ્ચ આદર્શ ગણીએ તો સારી વાત છે.  Equality is an abstraction, and the mammal brain does not process abstractions. આપણા આવા અનેક આદર્શો અમૂર્ત વિચારણા હોય છે. અહિંસા પરમોધર્મ, વસુધૈવ કુટુમ્બકમ અને ઇક્વાલિટી જેવી અનેક અમૂર્ત વિચારણાઓને મેમલ બ્રેઈન પ્રોસેસ કરી શકતું નથી. તેની ભૂખ feel good  પૂરતી હોય છે. અને ફિલ ગુડ ક્યારે આવે? સર્વાઈવલને સપોર્ટ કરતી કોઈ પણ વસ્તુ બને ત્યારે ફિલ ગુડ આવે. એટલે મારી ટીમ જીતે, ગુજરાતી તરીકે મોદી વડાપ્રધાન બને, મારા ભાઈને રાષ્ટ્રપતિ ચંદ્રક મળે, સાઈના નેહવાલ બેડમિન્ટન કપ જીતી જાય, શ્રેયા ઘોષાલ કે ઐશ્વર્યા મજુમદારને ફિલ્મફેર એવોર્ડ મળે, આવું તો ઘણું બધું થાય ત્યારે મને ફિલ ગુડ અનુભવાય.    imagesFSE90FQN

આપણે જાતિવાદને વખોડીએ છીએ. જાતિ કે કોમ શું છે? તમારો પોતાનો નજદીકનો સમૂહ છે. વેરી ક્લોઝ સમૂહ છે. વેરી કોલોઝ ટ્રાઈબ. એના કરતા પણ વેરી ક્લોઝ સમૂહ આપણું કુટુંબ હોય છે. તમારા વ્યક્તિગત અંગત કામ માટે કશું કરો તો સ્વાર્થ કહેવાય છે. કુટુંબ માટે કશું કરો તો કુટુંબ માટે બલિદાન આપ્યું કહેવાય. કુટુંબ કરતા કોમ અને કોમ કરતા ગામ મોટી જાતિ જ થઇ એક રીતે. રાજપૂત, પટેલ, ઠક્કર જેવી અનેક જાતિઓ કરતા મહેસાણી, કાઠીયાવાડી, સુરતી, બનાસકાંઠીયા, પંચમહાલિયા, બરોડીયન, અમદાવાદી વગેરે જાતીઓનું ફલક જરા મોટું થઈ ગયું. જાતિવાદ તો આમાં છે જ પણ ફલક મોટું થતું જાય છે. આ બધું ભેગું કરો એટલે મહાજાતી ગુજરાતી થઈ જાય. આમ ગુજરાતી, રાજસ્થાની, કર્ણાટકી, કેરાલીયન આવા બીજા પણ ગણીએ તો આમાં જાતિવાદ વળી બહુ મોટા ફલક પર વિસ્તરી જાય. છવટે ભારતીય તરીકે રાષ્ટ્રવાદી કહેવાઈએ પણ આમાં જાતિવાદનું ફલક અતિવિશાળ થઇ જતું હોય છે. જેમ જેમ નાના ફલક ઉપર કામ કરતા જાવ તેમ તેમ સ્વાર્થી કહેવાઓ અને જેમ જેમ મોટા જાતીવાદી ફલક ઉપર કામ કરતા જાવ તેમ તેમ પરોપકારી વધુ કહેવાતા જવાના. છેવટે રાષ્ટ્રવાદી કે પછી માનવતાવાદી કહેવાઈ શકો. ઉમાશંકર જોશી પાછલી ઉંમરમાં પોતાને વિશ્વમાનવ તરીકે માનતા થઈ ગયેલા.

જાતિવાદ એટલે સમૂહવાદ પછી તે નાના ફલક ઉપર હોય કે વિશાલ. અને સમૂહવાદ એટલે મેમલ બ્રેન જે કરોડો કરોડો વર્ષથી સર્વાઈવલ માટે વિકસેલું છે. જાતિવાદ કદી નાશ પામવાનો નથી, તમે નવી નવી જાતિઓ ઉભી કરો અથવા મોટા ફલક પર કામ કરી પરમાર્થી બનો. તમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર જેવી જ્ઞાતિઓ ભૂંસી નાખો બદલામાં શિક્ષક, એન્જીનીયર, વૈષ્ણવ, ક્લોથ મરચંટ, લેખક, કવિ, બચ્ચન ફેન કે સચિન ફેન જેવી બીજી હજારો જાતિઓ ઉભી કરો. તમારો જાતિવાદ નાના ફલક ઉપર ચુસ્ત હશે તો મોટા ફલક ઉપર એની પકડ ઓછી હશે. એટલે મેં લખેલું કે આપણે ત્યાં કોમવાદ ચુસ્ત છે માટે રાષ્ટ્રવાદ કમજોર છે. રાષ્ટ્રવાદ ચુસ્ત હશે તો કોમવાદ કમજોર હશે. એટલું કરી શકાય કે કોઈ જાતિને નાની મોટી હલકી કે ભારે નાં સમજીએ.

હવે આ જાતિવાદ, સમુહવાદનું ફલક વિસ્તરતું વિસ્તરતું બીજા મેમલ પ્રાણીઓ અને જીવ જંતુ સુધી વિસ્તરી જાય તો દુનિયા તેને ભગવાન મહાવીર તરીકે ઓળખે છે, ભગવાન બુદ્ધ તરીકે ઓળખે છે.

4th of July સ્વતંત્રતા દિવસ

1280px-George_Washington_statue4th of July સ્વતંત્રતા દિવસ

અહી ઈન્ડીપેન્ડન્સ ડે ફોર્થ ઓફ જુલાઈનાં નામે ઓળખાય છે. ફેડરલ હોલીડે તરીકે આખા અમેરિકામાં ઉજવાય છે. કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન જે હવે યુનાઈટેડ કિંગડમ તરીકે ઓળખાય છે તેની એડી નીચેથી ૪ જુલાઈ ૧૭૭૬નાં દિવસે સ્વતંત્ર થયાની જાહેરાતનો આ દિવસ છે. આજનો દિવસ અમેરિકનો માટે આતશબાજી, પરેડ, બાર્બેક્યુ, કાર્નિવલ, મેળા, પીકનીક, કોન્સર્ટ, બેઝબોલ, ફેમીલી મેળાવડા વગેરેનો દિવસ બની રહેવાનો. થોમસ જેફરસન મુખ્ય લેખક તરીકે પાંચ જણાની કમિટીએ ડેક્લરેશન ઓફ ઈન્ડીપેન્ડન્સ લખેલું.

રિમોર્કબલ કોઇન્સીડંસ એવો છે કે આ ડેક્લરેશનમાં સહી કરનારા જોહ્ન એડમ્સ અને થોમસ જેફરસન પાછળથી અમેરિકાના પ્રમુખ તરીકે સેવા આપી આ ડેક્લરેશન ની ૫૦મી ઍનિવર્સરિ જુલાઈ ૪ ૧૮૨૬નાં દિવસે મૃત્યુ પામેલા. આ ડેક્લરેશનમાં સહી નાં કરી હોય તેવા જેમ્સ મોનરો પ્રમુખ બનેલા તે  જુલાઈ ૪ ૧૮૩૧માં મૃત્યુ પામેલા. આમ ત્રણ પ્રમુખ તો આ યાદગાર સ્વતંત્રતા દિવસે જ મૃત્યુ પામેલા. અમેરિકાના ૩૦મા પ્રમુખ Calvin Coolidge એક માત્ર એવા પ્રમુખ હતા જે જુલાઈ ૪ ૧૮૭૨માં સ્વતંત્રતા દિવસે જન્મેલા. હિસ્ટોરિયન રીચાર્ડ મોરીસનાં હિસાબે મુખ્ય “Founding Fathers” તરીકે આ સાત જણાJohn Adams, Benjamin Franklin, Alexander Hamilton, John Jay, Thomas Jefferson, James Madison, and George Washington ગણાય છે. જો કે આ સિવાય પણ ઘણા બધાને Founding Fathers તરીકે ઓળખવામાં આવે છે, આપણી જેમ ફક્ત ગાંધીજીને નહિ.267px-Miamifireworks

૧૭મી સદીમાં આ લોકોએ બંદૂકો ખેંચી ને અંગ્રેજોને ભગાડી મુક્યા તે જ ૧૭મી સદીમાં આપણે અંગ્રેજોના ગુલામ બન્યા. આપણા નેતાઓ કા તો સ્વીસ બેંક ભણી દોટ મુકશે અથવા કોઈ બાબાના આશ્રમ ભણી. આપણે પરલોક, પરભવ અને આત્મસાક્ષાત્કાર જેવી અમૂર્ત ધારણાઓ પાછળ એટલી બધી દોટો મુકીએ છીએ કે દેશ તો પ્રાયોરીટી બાબતે બહુ પાછળ રહી જાય. કદાચ ભુલાઈ પણ જાય. એક સારા નેતા બની દેશને દોરવાને બદલે સારા સંત બનવાનો મોહ વધુ હોય છે. ગાંધીજીને પણ દેશના વડા બની દેશને સ્થિરતા આપવાના બદલે મહાન સંત તરીકે મહાત્મા તરીકે ઓળખાવામાં વધુ રસ હતો. એક બહુ સારા વિદ્વાન સ્વાતંત્ર્યસેનાની એવા અરવિંદ પણ અંગ્રેજો પકડી નાં શકે માટે ફ્રેંચ કોલોની એવા પોંડીચેરીમાં આશ્રમ સ્થાપી બેસી ગયા દેશ ગયો બાજુ પર.. પરલોકની ચિંતામાં આ લોકને કોણ પૂછે છે?

અમેરિકનો રાજા તરીકે સ્થાપી દેવા તૈયાર હતા કારણ ત્યારે રાજાશાહી બધે ચાલતી જ હતી તો પણ જ્યોર્જ વોશીન્ગ્ટને બધું નકારેલું. ૧૭૮૯મા તેઓ અમેરિકાના પહેલા પ્રમુખ તરીકે ચૂંટાયા. ૧૭૯૨મા ફરી પ્રમુખ બન્યા. ત્રીજી વાર એમણે પ્રમુખ બનવાનું નકાર્યું અને એમના ખેતરો તરફ પાછાં વળી ગયા. અબ્રાહમ લિંકન કહેતા કે તમારે કોઈ માણસના ચારિત્ર્યની પરીક્ષા કરવી હોય તો એને સત્તા આપી જુઓ, પાવર આપી જુવો. બે વાર જ્યોર્જ વોશિંગટન સત્તા અને વર્ચસ્વ છોડીને મહાન પુરુષોની હરોળમાં આજે પણ અડીખમ ઉભા છે. મહાત્મા ગાંધીજીએ પણ સત્તાનો મોહ નહોતો રાખ્યો ફરક એટલો છે કે વોશિંગટને જરૂર પડે સત્તા સંભાળી, દેશને સ્થિર કર્યો અને પાછાં વળી ગયા.

નરેન્દ્ર મોદી હિમાલયની ખેપ બહુ વહેલા યુવાનીમાં જ મારી આવ્યા છે તે દેશ માટે સારું થયું કે ખોટું તે ભવિષ્ય બતાવશે, હમણા કશું કહેવાય નહિ.. હહાહાહાહાહા ..240px-Fourth_of_July_fireworks_behind_the_Washington_Monument,_1986

બિનસાંપ્રદાયિક માનવતાવાદનાં બુદ્ધિગમ્ય મૂળિયાં,. ચાર્વાક થી……….

George Jacob Holyoake
George Jacob Holyoake

બિનસાંપ્રદાયિક માનવતાવાદનાં બુદ્ધિગમ્ય મૂળિયાં, ચાર્વાક થી………..

શરુ કરીએ રેશનાલીઝમ થી.. રેશનાલીઝમ ને આપણે વીવેકપંથ કહીએ છીએ. રેશનલ વિચારધારા મતલબ કોઈ વાત કે વાદ ને એમજ માની લેવું અયોગ્ય  છે. કાર્ય અને કારણનો કોઈ સંબંધ હોવો જોઈએ. જ્ઞાન બુદ્ધિગમ્ય હોવું જોઈએ.  એની પાછળ કોઈ રીજન કોઈ કારણ હોવું જોઈએ એને બુદ્ધિ અને તર્ક વડે ચકાસવું જોઈએ. પછી યોગ્ય લાગે તો માનવું બાકી માનવું નહિ આવો સાદો અર્થ વિવેકવાદનો કરી શકાય. જોકે આમ  જોઈએ તો કોઈ વાદ કે વિચારધારા કે દર્શન પોતાનામાં પરિપૂર્ણ હોતા નથી. એમાંથી પછી નવી વિચારધારા પેદા થતી હોય છે.  In philosophy , rationality is the exercise of reason.

 ઍથિઈઝમ એક માન્યતા છે કે ભાઈ ઈશ્વર છે જ નહિ. જ્યારે રેશનાલીઝમ સબ્જેક્ટિવ છે. કાલે કોઈ સોલીડ પુરાવા આપે તો માની પણ લેવાય કે ઈશ્વરભાઈ ભગવાનભાઈ છે. સમયે સમયે વ્યાખ્યાઓ બદલાતી જતી હોય છે, જેમ કે આજે નાસ્તિક આસ્તિકની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. જોકે આવા બીજા અનેક વાદ કે વિચારધારાઓ છે જે લગભગ એકબીજા સાથે નજીવા ભેદે પણ સાથે સાથે ચાલતા હોય છે. શક્ય છે કે જુના રેશનાલીસ્ટો ભગવાનમાં અને ધર્મોમાં માનતા પણ હોઈ શકે.  રેશનાલીઝમ તર્ક અને ગણિત સાથે જોડાયેલું હતું.

Rene Descartes ( ૧૫૯૬-૧૬૫૦) કહેતો કે સપના આવે છે તે સત્ય લાગતા હોય છે અને ઘણી વાર ચિતભ્રમ દશામાં ઘણાને આભાસી દ્રશ્યો પણ સત્ય દેખાતા હોય છે. આમ ઇન્દ્રિયો વડે થતી અનુભૂતિ પણ શંકાજનક હોય છે. Baruch Spinoza (૧૬૩૨-૧૬૭૭),Gottfried Leibniz (૧૬૪૬-૧૭૧૬૦) આ ત્રણે મહાન રેશનાલીસ્ટ ગણિતશાસ્ત્રી હતા. Immanuel Kant ( ૧૭૨૪-૧૮૦૪) ટ્રેડિશનલ રેશનાલીઝમની શરૂઆત કરનારા હતા.

રેશનાલીઝમની સાથે સાથે મુસાફરી કરનારો એક વાદ છે Empiricism. અહીં અનુભવજન્ય જ્ઞાનને મહત્વ આપવામાં આવે છે. અવલોકન, પ્રયોગો, વૈજ્ઞાનિક મેથડ, પુરાવા બધું સોલીડ હોવું જોઈએ. રેશનાલીઝમની જેમ ખાલી રીજન શોધીને બેસી રહેવાનું નથી, પ્રત્યક્ષ પ્રમાણ જોઈએ. John Locke બ્રિટીશ એમ્પીરીસિઝમના મહાન તત્વજ્ઞાની હતા. જ્ઞાન ફક્ત સિદ્ધાંતો પર આધારિત નહિ પણ પ્રયોગમૂલક હોવું જોઈએ તે એમ્પિરિસિઝમનો મહત્વનો સિદ્ધાંત છે. સંશયવાદ Skepticism પણ આ બધા વાદ સાથે ચાલનારો વાદ છે. રેશનાલીઝમમાં ૧૦૦ માંથી ૩૫ માર્ક્સ આવે તો પાસ થઈ જવાય પણ સ્કેપ્ટીસિસમમાં ૧૦૦ માંથી ૧૦૦ જ લાવવા પડે. એક પણ માર્ક ઓછો પડે તો નાપાસ. David Hume (૧૭૧૧-૧૭૭૬)  એમના empiricism અને skepticism માટે ખૂબ જાણીતા હતા. આમ skepticism વિજ્ઞાન પર બહુ મોટો આધાર રાખે છે. અરે વિજ્ઞાન ઉપર પણ સંશય કરવો એમાંથી પણ નકલી વિજ્ઞાન જુદું પાડવું જેને સ્યુડો સાયન્સ કહેવાય. આમ કહેવાતી વૈજ્ઞાનિક વાતો પર પણ સંશય કરે તેવો આ વાદ છે. Skepticism નાં મૂળિયા ચાર્વાક સ્કૂલમાં રહેલા છે. અનેકાંતવાદ પણ આવો જ એક જબરદસ્ત વૈજ્ઞાનિકવાદ હતો કે એક સત્ય જુદા જુદા અનેક પોઇન્ટ ઑફ વ્યુથી જોઈ શકાય છે. દરેકના સત્ય જુદા જુદા હોય છે. એબ્સોલ્યુટ ટ્રુથ જેવું કશું હોતું નથી, non-absolutism.

Innatism ઇન્નેટીસમ  વળી માને છે કે જન્મ સમયે આપણું મન કોઈ કોરી સ્લેટ નથી. આને સહજવાદ કે સહજ પ્રત્યયવાદ પણ કહેવાય છે. આ વાદનું આધુનિક રૂપ છે Nativism નેટિવિઝમ. આને પ્રકૃતિવાદ પણ કહી શકાય. હું જે હ્યુમન નેચર વિષે અને ઈવોલ્યુશનરી સાયકોલોજી વિષે લખું છે તે બધું આ પ્રકૃતિવાદમાં આવી જાય કે આપણાં જિન્સમાં આપણે ઘણું બધું જ્ઞાન જન્મ સાથે લેતા આવીએ છીએ. હમણાં હું કાંગારું વિષે પ્રોગ્રામ જોતો હતો. કાંગારું અવિકસિત બચ્ચાને જન્મ આપે છે એકાદ વેંતનું પણ નાં હોય તેવું આ બચ્ચું જન્મી ને તરત કાંગારુંનાં પેટે રહેલી કોથળી તરફ પ્રયાણ કરે છે. એને કોણે શિખવાડ્યું કે કોણે બતાવ્યું કે ત્યાં કોથળી છે?

આમ લગભગ બધા વાદ કે વિચારધારાઓ કે દર્શન સંપૂર્ણ લાગતા નથી. ક્યાંક ને ક્યાંક ત્રૂટીઓ જણાય છે. Atheism માને છે કે કોઈ ભગવાન કે દેવ કે સુપર નેચરલ પાવર જેવું હોતું નથી. તો Agnosticism માને કે અમુક વસ્તુઓના જવાબ હોતા નથી, નરો વા કુંજ રો વા જેવું.

untitled-=-Richard Dawkins જેવા હાલના ગ્રેટ ડાર્વિનવાદી હવે Secular Humanism ની તરફેણ કરવા લાગ્યા છે, તો ચાલો હવે સેક્યુલરિઝમ વિષે થોડું જાણીએ. સેક્યુલર કે સેક્યુલરિઝમ નો સીધો સાદો અર્થ એવો કરી શકાય કે ગવર્નમેન્ટ કે સંસ્થાઓ કે એના દ્વારા અપાતા અધિકૃત આદેશોને ધાર્મિક સંસ્થાઓ કે ધર્માધિકારીઓ થી અલગ રાખવા. ટૂંકમાં કહીએ તો સરકાર કે સંસ્થાઓનાં વહીવટમાં ધર્મો અને ધર્માધિકારીઓની દખલ જોઈએ નહિ. આને ગુજરાતીમાં બિનસાંપ્રદાયિક કહેતા હોઈએ છીએ. એક એવો અર્થ પણ થાય કે ધર્મો કે ધાર્મિક માન્યતાઓ કે આદેશો થી મુક્ત. એવું પણ કહી શકાય કે જાહેર પ્રવૃત્તિઓ અને નિર્ણયો ખાસ તો રાજકીય, આ બધું ધાર્મિક માન્યતાઓ અને પ્રેકટીશ ની અસર કે પ્રભાવ વગરનું હોય.

સેક્યુલરિઝમનાં બુદ્ધિગમ્ય મુળિયા   Marcus Aureliusઅને  Epicurus જેવા ગ્રીક અને રોમન ફિલોસોફર Denis Diderot, Voltaire, Baruch Spinoza, John Locke, James Madison, Thomas Jefferson, અને  Thomas Paine જેવા વિચારકોમાં અને આધુનિક  freethinkersઅને  atheists એવા  Robert Ingersollઅને  Bertrand Russell વગેરેમાં જોવા મળે છે. સેક્યુલરિઝમ ને ટ્રેડીશનલ ધાર્મિક મૂલ્યો થી દૂર આધુનિકતા તરફ ગતિ કરતી એક ચળવળ પણ ગણવામાં આવે છે. બ્રિટીશ રાઈટર George Jacob Holyoake એ પહેલીવાર ૧૮૫૧મા સેક્યુલરિઝમ શબ્દ ઉછાળ્યો હતો. પોતે agnostic હતો અને ધાર્મિક માન્યતાઓનું ખંડન કર્યા વગર સામાજિક નિર્દેશો ધર્મોયુક્ત નાં હોવા જોઈએ તેવું માનતો હતો. એ કહેતો કે સેક્યુલરિઝમ એ સ્વતંત્ર વિચારધારા છે, કોઈ ક્રીશ્ચિયાનીટી વિરુદ્ધની ગરમગરમ ચર્ચા નથી.

સેક્યુલર સ્ટેટ(રાજ્ય, દેશ) મતલબ ધર્મ અને ચર્ચ થી મુક્તિ. આપણે ધર્મ કે મંદિર થી મુક્ત કહી શકીએ. ચર્ચ કે મંદિર કે મસ્જિદ શબ્દને ધાર્મિક માન્યતાઓ કે આદેશો તરીકે સમજવો. ધાર્મિક પવિત્ર ગ્રંથોમાં જે કાનૂન દર્શાવ્યા હોય જેવા કે Torah અને Sharia તેનાથી અલગ, સરકાર પોતાના કાનૂન ઘડે. ગરબડ એ છે કે દરેકની પોતાની વ્યાખ્યાઓ આવા શબ્દોમાં ઉમેરાતી હોય છે. લોકશાહીમાં ધાર્મિક લઘુમતીઓના હકોનું રક્ષણ કરવું જોઈએ તેવો પણ એક મત હોય છે.

અહી સેક્યુલરિઝમ ગૂંચવાઈ જાય છે. ધાર્મિક લઘુમતીઓને એમના સ્ક્રિપ્ચર પ્રમાણે કાનૂન અને ફાયદા જોઈતા હોય છે. હવે લોકશાહી તરીકે એમને સંતોષ આપવા જાવ તો બીજા લોકોને મનદુઃખ થવાનું જ છે. ભારતમાં એવું જ થાય છે. ભારતના મુસ્લિમોનો દંભ જુઓ એમને ફાયદા શરિયત મુજબ જોઈએ છે પણ સજાઓ ભારતીય કાયદા મુજબ જોઈતી હોય છે. મુસલમાન ચોરી કરે તો શરીયત મુજબ હાથ કાપી નાખો કે વ્યભિચાર કરે તો મારી નાખો અને બીજા ભારતીયોને આ લાગુ પડે નહિ. તો હાલ મુસલમાન શરીયત મુજબ ચાલવાનું ના પાડી દેશે. એમને ફાયદા શરિઆ મુજબ જોઈએ છે સજાઓ નહિ.

સેક્યુલરિઝમમાં ધર્મોનું અપમાન કરવાનો ઈરાદો હોતો નથી, એમાં ફક્ત ધર્મોની ઉપેક્ષા છે. કારણ તમે બધા ધર્મોના પવિત્ર પુસ્તકોમાં લખેલા કાયદા કાનૂન પાળી સરકારો ચલાવી શકો નહિ. કારણ દરેક ધર્મની માન્યતાઓ અને એમાં લખેલા કાયદા કાનૂન અલગ અલગ હોય છે. અમેરિકામાં વસાહતીઓ આવેલા એનું એક ફન્ડામેન્ટલ કારણ દરેક ને જે તે ધર્મ પાળવાની છૂટ મળે તે હતું. અમેરિકન બંધારણમાં કોઈ પણ ધર્મ પાળવાની અને કોઈ પણ ધર્મ નાં પાળવો હોય તો તેમ કરવાનો મૂળભૂત હક છે. પણ ત્યાં કાયદો અમેરિકન સરકારનો પાળવો પડે છે ધર્મ ગ્રંથોમાં લખેલા કાયદા નહિ. અહી તો ફોર્મ ભરો તેમાં હિંદુ ધર્મ કે મુસ્લિમ ધર્મ લખવાની પણ છૂટ છે. ન્યુ જર્સીના પાર્લિનમાં વોશિંગટન રોડ પર આવેલા દ્વારકાધિશ મંદિરમાં કોઈ ઉત્સવ હોય ત્યારે પોલીસ ખડેપગે ટ્રાફિક અને જનતાની સલામતીની જવાબદારી સંભાળે છે. છતાં ધર્મેન્દ્ર અને હેમા મુસ્લિમ બની અહી ફરી લગ્ન કરી શકે નહિ, એ પહેલા ધર્મેન્દ્ર એ ડિવોર્સ લેવા પડે. આમ જોઈએ તો ભારતદેશ  લોકશાહી ખરો પણ સેક્યુલર ના કહેવાય

ઉપર વર્ણવ્યા તે બધા વાદ વિષે જુદા જુદા કલ્ચરમાં ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ થતી હોય છે. દરેકનું પાછું પોતાનું રેશનાલીઝમ અને સેક્યુલરિઝમ હોય છે. ગુજરાતી રેશનાલીસ્ટ ને માંસાહાર કરવામાં કોઈ રેશનાલીઝમ નહિ દેખાય. પણ અમેરિકન રેશનાલીસ્ટ આરામથી ગાયનું માંસ શુધ્ધા ખાશે. આમ તો ખાવાપીવાનું સેક્યુલર કહેવાય એમાં ધર્મોના આદેશની જરૂર નથી હોતી. પણ આજે અગિયારસ છે, ઉપવાસ છે પણ બટેટાનું શાક ખવાય કારણ ધાર્મિક નિર્દેશ છે તો પછી ખાવાનું સેક્યુલર રહ્યું નહિ. હવે આ જ બટેટા જૈન ધર્મમાં ઉપવાસ તો ઠીક રોજીંદા ખોરાકમાં પણ વર્જ્ય છે. બટેટા ખાવા સેક્યુલર ગતિવિધિ છે પણ ઉપવાસ હોય તો પણ ખવાય અથવા તો કદી ખવાય જ  નહિ તેવા ધાર્મિક નિર્દેશ તેને સેક્યુલર રહેવા દેતા નથી. ટૂંકમાં ધર્મના દિવેલ વડે જ દીવા બાળી એના પ્રકાશ વડે પગદંડીઓ શોધવાની જરૂર નથી. બીજા તેલ પણ બજારમાં મળે છે અને હવે તો સરસ બેટરીઓ પણ મળે છે.

ફ્રેંચ રેવલૂશન દરમ્યાન અને ત્યાર પછી તરત જર્મનીમાં સુપરનેચરલ અને કોઈ અદ્રશ્ય સત્તાને ધ્યાનમાં લીધા વગર ફક્ત માનવજાતને ધ્યાનમાં રાખી નૈતિકતાની ફિલોસફીનાં સંદર્ભમાં Humanism (માનવતાવાદ) શબ્દ વપરાવા લાગ્યો હતો. આની સીધીસાદી વ્યાખ્યા જોઈએ તો ઇશ્વર કે કુદરત નહિ, પણે માનવ(નું હિત) જ સર્વોપરી છે એમ માનનાર વિચારસરણી, માનવતાવાદ, સાહિત્ય અને સંસ્કૃતિનું પુનર્જીવન, માણસની જરૂરિયાતો પર ભાર મૂકીને માણસને લગતા સવાલો બૌદ્ધિક માર્ગે ઉકેલવાનો સિદ્ધાન્ત એટલે માનવતાવાદ. ધાર્મિક માનવતાવાદમાં કોઈ ધાર્મિક ગ્રુપ માનવોની જરૂરિયાતો તરફ વધુ ધ્યાન આપે, તકલીફોમાં એમની સેવા પહેલી કરે. ઘણા ધાર્મિક સમૂહો કે સંસ્થાઓ ડીઝાસ્ટર વખતે સેવા કરવા દોડી જતા હોય છે. ખ્રિસ્તી મિશનરી પ્રવુત્તિ નો મુખ્ય હેતુ માનવસેવા હોય છે. પછી એની પાછળ પોતાના ધર્મને ફેલાવવાનો હેતુ છુપાયેલો હોય છે. કારણ એકવાર તમને તકલીફમાંથી બચાવ્યા હોય એટલે તમે એમના ઉપકાર હેઠળ દબાઈ જવાના અને ધીમે ધીમે તે ધાર્મિક સંસ્થામાં જોડાઈ જવા મનેકમને મજબૂર થઈ જાવ તેવું પણ બને. ધાર્મિક સંસ્થાઓના સેવા કાર્યો જેવા કે એમની હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, મફત ભોજન પુરા પાડવા બધું આડકતરી રીતે એમના ધર્મના ફેલાવવા માટે વધુ હોય છે. ઘેટાને વાડામાં પુરવા થોડો ચારો નાખી લલચાવવું પડે. એક હાથે આપો પછી ચાર હાથે લુંટવાનું મળવાનું જ છે. જો કે બધી સંસ્થાઓ આવું કરે તેવું પણ નથી. ઘણી ધાર્મિક સંસ્થાઓ નિસ્વાર્થભાવે માનવસેવા કરતી હોય છે.

માનવને કેન્દ્રમાં રાખી સુપરનેચરલ સત્તાને અવગણી અંગ્રેજીમાં જેને   Human-centered philosophy કહીએ તેના સૌથી જુના ઉલ્લેખ ચાર્વાક અથવા લોકાયત સિસ્ટમમાં છે. આસ્તિકો માનતા હોય છે કે ધર્મ, પાપ-પુણ્ય, સ્વર્ગ-નરક જેવી માન્યતાઓ, ભગવાન કે ભગવાનનો ડર વગેરે વગેરે માનવજાતને નૈતિક બનાવી રાખતો હોય છે. ઘણા કહેતા હોય છે ધર્મ નાં હોય તો પૃથ્વી રસાતાળ જાય. આમ માનવજાતને નૈતિક બનાવી રાખવા ધર્મના સહારે તમામ અનૈતિકતાઓ આચરતા હોય છે. એટલે બધા ધર્મોમાં આદર્શોની મહાન વાતો હોય છે ખરી પણ અમારો ધર્મ પાળો તો જ નૈતિક બની શકો તે હઠાગ્રહને લીધે સૌથી વધુ હત્યાઓ ધર્મના નામે થઈ છે.imagesKHLY2AAI

બીજું ધર્મોમાં નાં માનતા નાસ્તિકો પણ ક્રૂર બની શકતા હોય છે. એમની નાસ્તિકતા એમનો ધર્મ બની જતી હોય છે અને તે નાસ્તિકતા નામનો નવો ધર્મ ફેલાવવાની લાહ્યમાં માનવજાતનું નિકંદન કાઢી નાખવા તત્પર બની જતા હોય છે. એના ઉત્તમ ઉદાહરણ માઓ, માઓવાદી અને રશિયન સામ્યવાદ અને તેમનો militant ઍથિઈઝમ છે. ચીન અને રશિયન નાસ્તિક સરકારોએ પાયાના હ્યુમન રાઈટ્સનું હનન કરેલું છે તેવું ઘણા માને છે. માટે અહી સેક્યુલર માનવતાવાદ આ બધાથી જુદો પડે છે. સુપરનેચરલીઝમ, સુપરસ્ટીશન, સ્યુડોસાયન્સ બધાને દૂર રાખી ને પણ માનવ જાતની સેવા કરી માનવને નૈતિક બનાવી શકાય છે. માનવ ધર્મ અને ભગવાનની સહાય વગર નૈતિક બનવા કેપેબલ છે તેવું આ સેક્યુલર માનવતાવાદીઓ માનતા હોય છે. એથિઈસ્ટ કે અગ્નૉસ્ટિક માનવતાવાદી હોય તે સારી વાત છે પણ માનવતાવાદી હોય જ તે જરૂરી નથી. અને ધાર્મિક સંગઠનો પણ માનવતાવાદી કામો કરતી હોય છે, પણ એમાં ધર્મના બહાને શોષણ થવાનો ભય હોય છે, માટે સેક્યુલર માનવતાવાદ ઉભો થયો છે જેમાં ઍથિઈઝમ ની સંભવિત ક્રૂરતા અને ધર્મના સંભવિત શોષણ વગેરે થી દૂર રહી શકાય.   

યે પાપ હૈ ક્યા ઔર પુણ્ય હૈ ક્યા ?

 યે પાપ હૈ ક્યા ઔર પુણ્ય હૈ ક્યા ?scrts

“સૉક્રેટિસ મહાન ફિલસૂફ હતા, મીરાં મહાન હતી છતાં તેમને બંનેને ઝેર શા માટે પીવું પડ્યું? ઈશુ ખ્રિસ્ત ભગવાનના એકના એક પુત્ર હતા, ગાંધીજી મહાત્મા હતા તેમની કરુણ હત્યા કેમ થઈ? પરમહંસ સ્વામી રામકૃષ્ણ ઋષિ હતા. તેમનું મૃત્યુ કેન્સર થી શા માટે થયું? આવા પુણ્યશાળી મહાત્માઓએ પણ એમના આગલા જન્મમાં અક્ષમ્ય અપરાધ કે ઘોર પાપ કર્યા હશે, જેથી તેમના જીવનનો અંત કરુણ આવ્યો? જો તેમને પૂર્વ જન્મમાં કઈ મોટા અપરાધ કે પાપ કર્યા હોય તો આ જન્મમાં મહાત્મા બનવાનું તેમનું પ્રારબ્ધ કોણે લખ્યું?”

ઉપર મુજબના સવાલ એક યુવાન મિત્ર પ્રહલાદસિંહ જાડેજાના મનમાં સામટાં ઉદ્ભવ્યા છે. અને આ સવાલો એમણે ફેસબુકમાં મૂક્યા છે. ફેસબુક ખાલી ફોટા શેઅર કરવાનું કે ગપ્પાં મારવાનું સ્થળ નથી રહ્યું. ત્યાં વિચારશીલ મિત્રો ઘણી ગહન ચર્ચા કરતા હોય છે. કર્મના નિયમમાં જે છીંડા છે તેને અનુલક્ષીને આવા સવાલો ઉદ્ભવતા હોય છે. ઉપર લખેલા કહેવાતા મહાત્માઓએ આગલા જન્મમાં ઘોર પાપ કર્યા હોય તો આ જન્મમાં પુણ્યશાળી કઈ રીતે બન્યા? વળી ઈશુ તો ભગવાનના પુત્ર હતા. એમને તો વળી કેટલી બધી ક્રૂરતા થી ક્રોસ પર ચડાવી દીધા? ખ્રિસ્તીઓ કહેશે જીસસે આપણા પાપોની સજા ભોગવી. પાપ આપણે કરીએ અને સજા બીજો કોઈ શું કામ ભોગવે?

પાપ પુણ્ય ની કોઈ ચોક્કસ વ્યાખ્યા છે ખરી? આપણે જેને પાપ સમજતા હોઇએ તેને બીજા લોકો આરામથી કરતા હોય છે. હિંદુ માટે ગાયની હત્યા કરવી પાપ ગણાય તો મુસલમાન અને ખ્રિસ્તી માટે તે પાપ કેમ નહિ? નિયમ તો સરખો જ હોવો જોઈએ ને? બીફ ખાવું પાપ ગણાય તો મરઘી એ શું ગુનો કર્યો? વળી જૈન માટે તો કીડી મરી જાય તો પણ પાપ લાગે. માટે જૈનો ખેતી કરતા નથી. ખેતી કરવામાં હળ ચલાવવું પડે એમાં અસંખ્ય જીવ જંતુઓ મરી જાય માટે પાપ લાગે. એ પાપ હિંદુઓ ભલે કરતા. પણ એ પાપનાં ફળ રૂપે પાકેલું અનાજ જૈન થી ખવાય એમાં પાપ નાં લાગે. છે ને હસવા જેવી વાત?

કર્મની કહેવાતી થીઅરીમાં જૈનો સૌથી વધુ માનતા હોય છે. ઓશોએ એક બહુ મસ્ત રમૂજી દાખલો આપેલો. કોઈ માણસ ધારો કે કૂવામાં પડી ગયો છે અને બચાવવા બુમો પાડે છે. હવે ત્યાંથી હિંદુ નીકળશે તો એને બચાવવો જોઈએ તે માટે પ્રવચનો આપશે, ફંડ ફાળો ઉઘરાવશે ભલું હશે તો ત્યાં મંદિર બનાવી નાખશે, ખ્રિસ્તી નીકળશે તો કમરથી દોરડું છોડી સીધું લટકાવી દેશે કૂવામાં. ઓશો હસતા હતા કે ખ્રિસ્તી સેવા કરવા હમેશાં તૈયાર જ હોય કે ક્યારે કોઈ કૂવામાં પડે એની જાણે રાહ જ જોતા હોય, ને સેવા કરવાનો ચાન્સ મળી જાય. દોરડું ડોલ બધું રેડી જ હોય. અને જૈન નીકળશે તો આડું જોઇને ચાલ્યો જશે જાણે કશું જોયું જ નથી. કૂવામાં પડ્યો તો કરમ એના. આ જન્મે નહિ તો ગયા જન્મે કોઈ કરમ કર્યું હશે. અને ધારો કે એને બચાવીએ અને બહાર નીકળી ભવિષ્યમાં કોઈનું ખૂન કરી નાખે તો?  હિટલર બની જાય તો? તો એમાં ભાગીદાર ગણાઈ જવાય.. એટલે જૈનો પુણ્ય કરવા પાંજરાપોળ ખોલશે કીડીયારા પૂરશે. પશુઓ અને જીવજંતુ હિટલર તો બનવાના નથી જ. એટલે એમના પાપમાં ભાગીદાર બનવાના ચાન્સ ઓછા. હિંદુઓ ખેતી કરી પાપ કરે, યુદ્ધો કરી પાપ કરે આપણે અનાજ ખાવાનું અને અહિંસા પરમોધર્મનાં નારા લગાવે રાખવાના.  imagesZBUXCP4Z

આમ પાપ-પુણ્ય ની કોઈ સચોટ વ્યાખ્યા છે જ નહિ તો એના લીધે ભોગવવા પડતા ફળ માટે કોઈ સચોટ નિયમ ક્યાંથી હોય? કયા કર્મને સારા ગણવા કે કયા કર્મને ખરાબ ગણવા તેની જ કોઈ સચોટ વ્યાખ્યા કે નિયમ છે નહિ. ભૌતિકશાસ્ત્ર કે શરીરશાસ્ત્ર કે રસાયણશાસ્ત્રનાં સચોટ નિયમો હોય છે જે બધાને બધી રીતે સરખાં જ લાગુ પડતા હોય છે. સફરજન ઝાડ પરથી પડે ત્યારે નીચે જ પડે છે ઉપર ગતિ કરતું નથી. સફરજન નીચે પડે અને કેરી ઉપર જાય તેવું બને નહિ. ઝાડ પરથી મુસલમાન કે ખ્રિસ્તી નીચે પડે અને હિંદુ કે જૈન ઉપર તરફ જાય તેવું પણ બને નહિ.

શ્રી પ્રહલાદસિંહનાં બીજા પ્રશ્નો જુઓ, “જ્યારે કોઈ મોટી કુદરતી દુર્ઘટના બને ત્યારે કે નદીના પૂર, ધરતીકંપ, જવાળામુખી, દુષ્કાળ, વાવાઝોડાના તોફાનો થાય ત્યારે, હજારો મનુષ્યો, પશુઓ, જંતુઓનો એકીસાથે નાશ થાય છે. કેટલાય ઘરબાર વગરના બને છે કેટલાય ઘાયલ થાય છે ત્યારે સવાલ થાય કે શું એક જ વિસ્તારમાં વસતા આટલા બધા લોકોને તેમના ઓછાં-વત્તા, સારા-નરસા કર્મો માટે સામુદાયિક રૂપની એક જ પ્રકારની સજા થાય? શું તે દરેકના કર્મો એકસમાન હતાં? પ્રારબ્ધમાં લખાયું હોય તે ભોગવવું પડે તો પ્રારબ્ધ લખવા માટે કોઈ ઈશ્વરીય નિયમો તો હશે ને? કોર્ટ કોઈને સજા કરે ત્યારે તેને કયા ગુના માટે સજા થઈ તેની જાણ આરોપીને કરે છે, પણ કર્મફળની ઈશ્વરી અદાલતમાં સજા થાય છે તે તેના ક્યાં કર્મો માટે થાય છે તેની કશી જાણ થતી નથી. આ સજા આ જન્મના કુકર્મો માટે થઈ કે પૂર્વજન્મના કુકર્મો માટે થઈ તે વિશે કશી જાણ થતી નથી. મનુષ્યને પૂર્વજન્મનાં પાપ પુણ્યની સ્મૃતિ રહેતી નથી. તેથી મનુષ્ય આગલા જન્મમાં કરેલ ભૂલોનું પુનરાવર્તન કર્યે જાય છે મનુષ્યની આવી સ્થિતિ માટે ખરેખરતો પ્રારબ્ધ યા ઈશ્વર ગુનેગાર ગણાય મનુષ્યતો અજ્ઞાની છે તેને તેના અજ્ઞાન માટે માફી આપવી ઘટે.”

મિત્રો પ્રહલાદસિંહનાં પ્રશ્નો વિચારતા કરી મૂકે તેવા છે. મૂળ પાપ-પુણ્ય, પુનર્જન્મ, પ્રારબ્ધ આ બધી માન્યતાઓ છે અમૂર્ત વિચારણાઓ છે. આ બધા સવાલો જ બતાવે છે કે આ બધી થીઅરીમાં ક્યાંક ખોટ છે. એટલે જ્યારે પ્રાકૃતિક દુર્ઘટનાઓ બને છે ત્યારે મંદિરો કે ચર્ચ જે આડે આવે તે ફૂંકાઈ જતું હોય છે. કહેવાતા પુણ્યશાળી આત્માઓ પણ એમાં દેવલોક પામી જતા હોય છે. પ્રકૃતિ કોઈને છોડતી નથી. પ્રકૃતિને ખબર હોતી નથી કે આ પાપી છે કે પુણ્યશાળી. આ મંદિર છે એટલે એને અસર નાં થવી જોઈએ તેવું પ્રકૃતિની સમજમાં આવે નહિ. પ્રકૃતિ સમાન સિવિલ કોડમાં માને છે. હિંદુ માટે જુદા કાયદા અને ખ્રિસ્તી કે મુસલમાન માટે જુદા કાયદા તેવું પ્રકૃતિમાં હોય નહિ.

રામકૃષ્ણ પરમહંસ દેવને કેન્સર થયું તે શરીરશાસ્ત્રનાં નિયમો.. એમને જે જિનેટિક વારસો એમના પૂર્વજો તરફથી મળ્યો હશે એ પ્રમાણે બન્યું હશે. એમાં રામકૃષ્ણ દેવે ગયા જન્મમાં કોઈ પાપ કર્યા હશે માટે આમ થયું તે કહેવું જ નકામું છે. ઊલટાનું એવું માનવું કે કહેવું તે રામકૃષ્ણ જેવા માનવ માટે અપમાનજનક કહેવાય. ખાનપાન ની ટેવો, વાતાવરણ અને જિનેટિક વારસો બધું ભેગું મળીને આપણને આરોગ્ય પ્રાપ્ત થતું હોય છે. હું આખો દિવસ મંજીરા વગાડી પ્રભુનું ભજન કરું અને ટી.બી યુક્ત ફેંફસા ધરાવતા ચરસી બાવાઓ ભેગો બેસી એમની એંઠી ચલમ ફૂંકુ તો મને ટી.બી. થવાનો જ છે. અહીં પ્રભુ કહેવાનો નથી કે આ મારો ભક્ત છે ટીબી મહાશય એમનાથી દૂર રહેજો. કદાચ મારી રોગપ્રતિકારક શક્તિ બળવાન હોય તો ટીબી મહાશય દૂર પણ રહે એમાં કોઈ નવાઈ નહિ. હું ધ.ધુ.પ.પુ  ૧૦૦૮ હોઉં છતાં વાતાવરણની અસરમાં શરદી થવાની છે. કિડની સ્ટોન અને હાર્ટ પ્રૉબ્લેમ મારો જિનેટિક વારસો છે. આમાં પાપપુણ્ય અથવા કર્મોના લીધે થાય છે તેવું માનવું જ નકામું. કહેવાતા પાપીઓ ટપ દઈને કોઈ પણ તકલીફ વગર મરી જતા મેં જોયા છે અને કહેવાતા પુણ્યાત્માઓ રિબાઈ રિબાઈ ને મરતા પણ જોયા છે. એમાં કોઈ દોષી હોતું નથી.

દરેક માણસની એક વ્યક્તિગત સર્વાઈવલ સ્ટ્રેટેજી હોય છે. આ સ્ટ્રેટેજી જન્મે ત્યારથી ઘડાવા માંડતી હોય છે. બાળક જન્મે ત્યારથી એના બ્રેનમાં સર્કિટો ગૂંથાવા લાગતી હોય છે, માહિતી અને અનુભવોનું પ્રોસેસિંગ, સિન્થેસિસ સતત ચાલતું જ હોય છે. માટે બે વર્ષનું થાય ત્યાં સુધી બાળકને નાહક જરૂર વગર રડવા દેવું નહિ તેવું ન્યુરોસાયંસ કહે છે. રડે કે તરત ઊચકી લેવું તેવું કહે છે. કારણ રડે એટલે સર્વાઈવલ મોડ ઉપર સ્વિચ ઓન થઈ જાય એટલે પેલું બ્રેન સિન્થેસિસ અટકી જાય. બાળક આજુબાજુના વાતાવરણ પ્રમાણે બધું શીખતું જતું હોય છે. શીખવાનું તો લગભગ આખી જીંદગી ચાલુ જ રહેતું હોય છે પણ બચપણમાં જે પગદંડીઓ બ્રેનમાં ન્યુઅરલ પાથ વે તરીકે બની ગઈ હોય તે આખી જીંદગી તેની સેવા કરતી હોય છે. એને જ આપણે સાદી ભાષામાં સંસ્કાર કહીએ છીએ.

બાળક પહેલું એના માબાપ પાસેથી શીખતું હોય છે. માટે આપણે માબાપના સંસ્કાર એમ કહેતા હોઈએ છીએ. હવે આ તમામ માહિતી અને અનુભવોનું પ્રોસેસિંગ અને સિન્થેસિસ કરીને એમાંથી ઇમ્પ્લીમેન્ટેશન કેટલું અને કઈ રીતે થશે તે કહેવાય નહિ. બ્રેન સર્કિટ કે પાથવે કે પગદંડી કેવી અને કઈ બનશે કહેવાય નહિ. પિતા સ્ટ્રેસ અનુભવતા સિગારેટ સળગાવે છે તે જોઈ બાળક મોટું થઈ ને તેનું અનુકરણ કરી શકે છે અથવા પિતા સિગારેટ ફૂંકી ફૂંકી લંગ કેન્સરમાં અકાળે મરી ગયા છે તો બાળક મોટું થઈ કદાચ જિંદગીભર સિગારેટને હાથ નાં લગાડે તેવું પણ બને અથવા પિતાના આવા અકાળ દુઃખદ મૃત્યુમાંથી કશું શીખ્યા વગર સિગારેટ પીધે પણ રાખે.

તમને મુઘલ બાદશાહોની એક સર્વાઈવલ સ્ટ્રેટેજીની ખબર જ હશે કે પિતાને જેલમાં નાખી કે ભાઈઓ વગેરેને મારી નાખી ગાદી પર ચડી બેસવું. બીજા મુસલમાન જેવા કે અરબસ્તાન કે ઓટોમન સામ્રાજયનાં બાદશાહો કે ખલીફાઓ આવું કરતા હતા તેવું જો તમને માનતા હોવ તો ખોટું છે. આ ખાલી મુઘલોનો સાંસ્કૃતિક કે જિનેટિક વારસો ગણો તો ગણી શકાય. મૂળ મુઘલો પહેલા મુસલમાન હતા જ નહિ. મોંગોલિયા જે ચીનની બાજુમાં આવ્યું ત્યાંની આ પીળી પ્રજા મુઘલો હતા. ચંગીઝખાન ત્યાંનો ઇતિહાસ પ્રસિદ્ધ સમ્રાટ હતો તે મુસલમાન નહોતો. આ મુઘલો મોન્ગોલીયામાં હતા મુસલમાન નહોતા ત્યારથી બાપને કે ભાઈઓને મારી ગાદી પર ચડી બેસવાની સર્વાઈવલ સ્ટ્રેટેજી અપનાવતા હતા. કાલક્રમે એમના વંશજો અફઘાનિસ્તાન આવ્યા મુસલમાન બન્યા અને પછી હિન્દુસ્તાનમાં આવ્યા પણ પેલી સર્વાઈવલ સ્ટ્રેટેજી જોડે લઈને આવ્યા. આ નામ પાછળ ખાન લગાવવાનો રિવાજ મોન્ગોલીયામાં હતો અરબસ્તાનમાં નહિ..

ભુટ્ટો રાજકારણમાં પડ્યા ખૂબ કરપ્શન કર્યું અને છેવટે ફાંસી પર લટકી ગયા પણ એમાંથી બેનઝીર શું શીખી? એ પણ રાજકારણમાં પડી ખૂબ કરપ્શન એણે એના હસબન્ડ સાથે મળીને કર્યું ને બૉમ્બ બ્લાસ્ટમાં મરી.. ઇન્દિરાજીની હત્યા થઈ, રાજીવ ગાંધીની પણ હત્યા થઈ પણ બચપણમાં બ્રેનમાં ગૂંથાઈ ગયેલી સર્વાઈવલ સ્ટ્રેટેજી વળી પાછી રાહુલને રાજકારણમાં ખેંચી ગઈ કે નહિ? મેં શાહજહાં મેમલિયન ટ્રેજેડી નામનો લેખ લખેલો જ છે.

જેમ વ્યક્તિગત સર્વાઈવલ સ્ટ્રેટેજી હોય છે તેમ આખા સમૂહની કે સમાજની પણ એક સર્વાઈવલ સ્ટ્રેટેજી હોય છે. કારણ આખરે માનવી સમૂહમાં રહેવા સમાજમાં રહેવા ઇવોલ્વ થયેલો છે. હિંદુ સમાજ, જૈન સમાજ, ખ્રિસ્તી સમાજ એમાય પાછાં પેટા સમાજો એમની થોડી જુદી સ્ટ્રેટેજી અપનાવતા હોય તો વૈષ્ણવ સમાજ, સ્વામિનારાયણ સંપ્રદાય. એટલે હું કહું છું હિંદુ એટલે જીવન જીવવાનો એક તરીકો. માનવ પાસે બીજા પ્રાણીઓની કમ્પેરીઝનમાં એટલું બધું મોટું વિચાર કરી શકે તેવું બ્રેન છે કે આમાં જાતજાતના ભાતભાતના કોમ્બિનેશન મળી જશે. ધર્મો એક બહુ મોટા સમુહે જીવન જીવવાના સર્વાઈવલ સ્ટ્રેટેજી તરીકે અપનાવેલા તરીકા માત્ર છે. સ્થળ, કાળ અને વાતાવરણ પ્રમાણે આમાં પણ ફેરફાર થયે જ જતા હોય છે. આજ હિંદુ સમૂહ પશુઓના બેફામ બલિદાનો એક સમયે આપતો હવે એણે નક્કી કર્યું કે આવું બધું ખોટું છે. સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ ની આગેવાની હેઠળ આજ બીકણ ગણાતા ગુજરાતીઓએ માળવા, મેવાડ અને મારવાડ ઉપર ચડી જઈને બધું ધમરોળી નાખેલું. એના પછી આવેલા કુમારપાળે જૈનધર્મ અપનાવ્યો, માથામાં પડતી ‘જુ’ મારવાનો પ્રતિબંધ મૂક્યો ને ધીમે ધીમે ???? વાતાવરણ ની અસર જિન્સ ઉપર અને જિન્સની અસર વાતાવરણ ઉપર પડતી હોય છે. નેચર અને નર્ચર બધું અરસપરસ કામ કરતું હોય છે.

હવે આ સમુહે નક્કી કરેલી સર્વાઈવલ સ્ટ્રેટેજી બહાર કશું કરો એટલે સમાજ કહેશે પાપ કર્યું. એને સપોર્ટ કરતું કશું કરો એટલે કહેશે પુણ્ય.. વ્યક્તિગત હોય કે આખા સમૂહની જે તે સ્ટ્રેટેજી સારી છે કે ખરાબ તે અલગ વિષય છે. એક સમયે યજ્ઞોમાં પશુઓના બલિદાન આપવા પુણ્ય ગણાતું, ધર્મ ગણાતો. આજે ?? જૈન સમાજ માટે કીડી મારવી પાપ ગણાય અને બકરી ઈદના દિવસ કેટલા બકરાં ધાર્મિક વિધિ તરીકે કપાઈ જતા હશે? બંગાળના બ્રાહ્મણના પણ ઘર પાછળ પુકુર નામથી નાનું તળાવ હશે અને તેમાંથી પકડીને રોજ માછલી ખવાય તો પાપ નાં લાગે? અને ધર્મના કહેવાતા ઠેકેદાર પાંડુરંગ દાદાએ સમજ્યા વગર ગુજરાતના માછીમારોને માછલા ખાતા તે પાપ કહેવાય સમજાવી એક સરળ સસ્તો ઓમેગા-૩ મેળવવાનો રસ્તો બંધ કરી દીધો. એ બિચારાં બદામ તો ખાઈ શકવાના નથી. આ તો જસ્ટ દાખલો આપું છું કોઈ સ્વાધ્યાયીએ ખોટું લગાડવાની જરૂર નથી. ઈંડા અને માછલી ખાવાથી પાપ લાગતું હોય તો બધાને સરખું જ લાગે હિંદુ હોય, ગુજરાતી હોય કે મુસલમાન શું ફરક પડે છે? તિબેટમાં એક સ્ત્રીના અનેક પતિ હોય છે જ્યારે આપણે એક ભવમાં બે ભવ નાં કરાય કહી પતિ સિવાય બીજા પુરુષનું ચિંતન કરવું પણ પાપ ગણીએ છીએ. કેન્સર થાય સારી સારવાર મળી જાય તો ઘણા બચી જતા હશે પણ લગભગ બધા જ મરે હિંદુ હોય કે ખ્રિસ્તી કે રામકૃષ્ણ પરમહંસ કોઈ ફરક પડે નહિ. ઉત્તરાખંડમાં આભ ફાટે ત્યારે જે ઝપટમાં આવે તે બધા જાય એમાં ફલાણો પાપી અને ફલાણો પુણ્યશાળી એવું કશું હોય જ નહિ.

સર્વાઈવલ સ્ટ્રેટેજી વ્યક્તિગત હોય, કુટુંબની હોય, આખા સમાજ કે જ્ઞાતિની હોય, ગામની હોય, દેશની હોય, સંસ્કૃતિની હોય ધર્મની હોય જાતજાતની હોય ભાતભાતની હોય અને બધાનાં શંભુમેળા જેવી પણ હોય. સ્થળ બદલાય તો બદલાઈ પણ જાય. વાતાવરણ બદલાય તો બદલાઈ પણ જાય. દેશ બદલાય ધર્મ બદલાય તો પણ બદલાઈ જાય. વાંચન અને ચિંતનમનન થકી પણ બદલાઈ જાય. અમુક બદલાય અને અમુક ના પણ બદલાય. પણ બચપણમાં જે હાર્ડ વાયરિંગ બ્રેનમાં થઈ ગયું હોય છે તે આખી જીંદગી સેવા આપતું હોય છે તે હકીકત છે. પણ એને થોડા વિરલા સદંતર બદલી શકતા હોય છે. થોડા વિરલા નવી પગદંડી બ્રેનમાં બનાવી લેતા હોય છે. એને આપણે મહામાનવો કહેતા હોઈએ છીએ.

પાપ-પુણ્ય, લોક-પરલોક, પ્રારબ્ધવાદ, અવતારવાદ, પુનર્જન્મ, સર્વે એક સમાન(ઇક્વાલિટી) આવી અનેક ધારણાઓ વિચારણાઓ મોટું બ્રેન કરતું હોય છે. મોટા બ્રેન જોડે શબ્દોની ભાષા છે. ઊંચા ઊંચા આદર્શોની વાતો લાર્જ કોર્ટેક્સ આરતુ હોય છે. મેમલ બ્રેન પાસે અક્ષરધામ નથી તે શબ્દોની ભાષા જાણતું નથી. આપણે કહીએ કે આપણે બધા સરખાં છીએ. એવરીવન ઇઝ ઇક્વલ. એક ઉચ્ચ આદર્શ ગણીએ તો સારી વાત છે.   Equality is an abstraction, and the mammal brain does not process abstractions. આપણા આવા અનેક આદર્શો અમૂર્ત વિચારણા હોય છે.

અહિંસા પરમોધર્મ, વસુધૈવ કુટુમ્બકમ અને ઇક્વાલિટી જેવી અનેક અમૂર્ત વિચારણાઓને મેમલ બ્રેઈન પ્રોસેસ કરી શકતું નથી. તેની ભૂખ feel good  પૂરતી હોય છે. તેની ભાષા ફક્ત સર્વાઈવલની છે. આપણે કરોડો વર્ષ તૃણઆહારી પ્રાણીઓ તરીકે જન્મ્યા હતા. આપણે કરોડો વર્ષ માંસાહારી પ્રાણીઓ તરીકે જન્મી ચૂક્યા છીએ, આપણે કરોડો વર્ષ ઉભયહારી પ્રાણીઓ તરીકે જન્મ લેતા હતા. અને લાખો વર્ષથી ઉભયહારી મનુષ્ય તરીકે જન્મ લઈ રહ્યા છીએ. સમૂહમાં જીવવા માટે આપણે ઇવોલ્વ થયેલા છીએ. એટલે જ્યારે કોઈ સમુહને એમ લાગે કે સમૂહના સર્વાઈવલ માટે જે તે સ્ટ્રેટેજી સમાજે ઘડી કાઢી છે ભલે તે આજે ખોટી લાગે પણ તેની બહાર જઈને કોઈ નવો રાહ અપનાવે ત્યારે જે તે સમાજને જે તે સમયે તે નુકશાન પમાડશે તેવું લાગે તો એને ખતમ કરી નાખવામાં આવે છે. ભલે તે નવો રાહ ભવિષ્યમાં સમાજને લાભ પહોચાડે તેવો જ કેમ નાં હોય? આજે આપણે નરસિંહ મહેતાને મહાન સુધારક ગણીએ છીએ કે એમણે હરિજનવાસમાં ભજન ગાઈને એક સુધારાનાં બીજ વાવ્યાં, પણ ૧૪મી  સદીના કોઈ નાગરને પાછો બોલાવી પૂછો તો નરસિંહ મહેતા એ ઘોર પાપ કરેલું તેમ જ કહેવાનો. નરસિંહને મુકો નાતબહાર. મારો ગાંધીને ગોળી, આપો સોક્રેટીસને અને મીરાં ને ઝેર, ચડાવો જિસસને ક્રોસ ઉપરimages

આપણા વ્યક્તિગત કે કૌટુંબિક ભલા કે સર્વાઈવ માટે જે કરીએ તે પુણ્ય અને નુકસાનકારક કરીએ તે પાપ પણ આપણે સમૂહમાં જીવવા ઇવોલ્વ થયેલા છીએ માટે સમૂહ સર્વાઈવ થશે તો આપણે સર્વાઈવ થઈશું તેવું જાણી સમૂહના ભલા માટે, સર્વાઈવ માટે જે કરીશું તે પુણ્ય અને સમૂહને નુકશાન થાય તેવું કરીશું તે પાપ. સમૂહના ભલા માટે સમાજના ભલા માટે કોઈવાર વ્યક્તિગત ફાયદાને તિલાંજલિ આપીએતે પરમાર્થ. પણ પરિવર્તનશીલ સંસારની હકીકત જાણી કેટલાક સ્વપ્નદ્રષ્ટા (વિઝનરિ) પોતાના સમૂહના કે સમગ્ર માનવજાતના ભવિષ્યના ભલા માટે સાંપ્રત સમાજની તત્કાલીન સર્વાઈવલ સ્ટ્રેટેજી છોડી નવો રાહ અપનાવી એના માટે બલિદાન આપે છે તેને આપણે સોક્રેટીસ, ગાંધી કે જિસસ તરીકે ઓળખીએ છીએ.

સ્વાર્થી જિન્સ (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી-૪)

સ્વાર્થી જિન્સ (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી-૪)

અમારી ગામ ગપાટા મંડળીનાં સભ્ય મંજુબેનની પૌત્રીને દૂધ છોડાવવાની બાબતમાં જે ચર્ચા થયેલી તે પ્રમાણે શાંતિભાઈએ માતાનું દૂધ કેટલું મહત્વનું છે તાજાં જન્મેલાswami-vivekananda-DM70_l બાળક માટે તે વિષયક માહિતીની અમુક લિંક ઈ-મેલ દ્વારા મંજુબેનને મોકલી આપી હતી. તે બધી લિંક એમણે એમની પુત્રવધૂ ને ફૉર્વર્ડ કરેલી. એની ધારી અસર ઊપજી હતી. આજની પેઢી ખુલ્લા મનની છે તેના ગળે વાત ઊતરે તો પછી પ્રમાણિકપણે એનો અમલ કરે જ. પણ આ પેઢીને હવે હમ્બગ વાતોમાં રસ પડતો નથી, નક્કર વૈજ્ઞાનિક સંશોધન આધારિત વાત હોવી જોઈએ. આમ આજની પેઢી મોટાભાગે રેશનલ બનતી જાય છે.

આજના નાના છોકરાને કહીએ કે હનુમાનજી સૂર્યને નારંગી સમજી તોડવા માટે આકાશમાં કૂદેલા અને પડી ગયા તો હડપચી ભાગી ગઈ એટલે હનુમાન કહેવાયા તો હસવાનો જ છે. કહેશે બાપા શું ગપ્પા મારો છો?

મંજુબેને આવતાવેત ખુશ થઈ ને સમાચાર આપ્યા કે એમની પુત્રવધૂ  એ હમણાં દૂધ છોડાવી દેવાનું મુલતવી રાખ્યું છે. શાંતિભાઈ કહે આપણે સીધેસીધું ગમે તેટલું કહીએ દાખલા દલીલો કે સંશોધનના હવાલા આપીએ પણ માનત નહિ અને આ લિંક વાંચી કેવું માની લીધું? મેં કહ્યું સાચી વાત છે આ બધું મન ઉપર જાય છે. હમણાં કોઈ ગુરુજી કહે તો આપણે કેવાં અંધ બની માની લઈએ છીએ? માણસના મનનો તાગ મેળવવો અઘરો છે. જેટલા માણસ એટલાં મન અને જેટલા મન એટલી સાયકોલોજી.

આજે નિકિતા સમાચાર લાવી હતી કે આશારામ બાપુના આશ્રમમાં દરોડા પાડતા ૪૨ પોટલાં મળ્યા એમાં ૧૦,૦૦૦ કરોડની સંપત્તિ ને લગતા દસ્તાવેજો હાથ લાગ્યા છે.

મેં કહ્યું, ‘ આ તો થવાનું જ હતું, આ બાવાઓ તમને ભૌતિકવાદી બનશો નહિ તેવી શિખામણો આપશે પણ તેઓ ધનના ઢગલા ભેગાં કરતા રહેવાના. આટલી સંપત્તિ ના મળી હોય તો નવાઈ લાગે. મૂળ આની પાછળ આપણું એનિમલ બ્રેન જવાબદાર છે. એનિમલ બ્રેન આગળ બધી ફિલોસોફી અને આદર્શોની ગળી ગળી વાતો હવાઈ જતી હોય છે.’ નિકીતા બોલી આમાં એનિમલ બ્રેન ક્યાં આવ્યું?

મેં કહ્યું, ‘ એનિમલ બ્રેન હમેશાં સર્વાઈવલ અને રીપ્રોડક્શન વિષે શોચતું હોય છે. માનવો પાસે એનિમલ બ્રેન સાથે મોટું વિચારશીલ બ્રેન પણ છે માટે રીપ્રોડક્શનને પ્રમોટ કરતી તમામ બાબતોની પાછળ મોટા બ્રેનનો સહારો લઈને માનવ મગજ જાતજાતના નુસખા શોધી પડેલું રહેતું  હોય છે. એક તો સમાજમાં પ્રથમ હોય, આલ્ફા હોય તેને જ રીપ્રોડક્શન માટે ફિમેલ મળે અને ફિમેલ પણ બળવાન જિન્સ સાથે વિપુલ રીસોર્સીસ જેની પાસે હોય તેને જ પસંદ કરે. બસ ધર્મ પણ આ બાવાઓ માટે પ્રથમ બનવાનું એક સાધન માત્ર હોય છે. ધર્મના બહાને સમાજમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લીધું પછી વારો આવે રીસોર્સીસ ભેગાં કરવાનો અને એના માટે ધન કમાઓ. ધનના ઢગલા કરો પછી પાછળ પડો અંતિમ મંજિલ એવી સ્ત્રીઓ પાછળ. ઉચ્ચ આદર્શો ભરેલી ધાર્મિક વાતો પણ સમાજમાં પ્રથમ સ્થાને પહોચવાની નિસરણી માત્ર હોય છે. કારણ એવી વાતો કર્યા વગર કોઈ માનસન્માન આપે નહિ. વિવેકાનંદ જેવા બહુ ઓછા સાધુઓ હોય છે કે જેઓને આખા સમાજના ઉત્થાનની ફિકર હોય છે.’

મેં કહ્યું નિકીતા ‘એક વાક્યમાં કહું તો સામાન્ય માનવીને ફક્ત પોતાના જિન્સની(Genes) ફિકર હોય છે, નેતાઓ અને ટીપીકલ ધાર્મિક નેતાઓ આખા સમાજના જિન્સની ફિકર કરતા હોય તેવો દેખાડો કરીને ફક્ત પોતાના જિન્સની ફિકર કરતા હોય છે અને વિવેકાનંદ જેવા સંતો પોતાના જિન્સની ફિકર કર્યા વગર આખા સમાજના જિન્સની ફિકર કરતા હોય છે.’

શાંતિભાઈ બોલી ઊઠ્યા, ‘તમે તો સેલ્ફીશ જિન્સની થિયરીનો સારાંશ એક જ વાક્યમાં કહી નાખ્યો.’

મેં કહ્યું એ વાત પર ઠોકો તાલી અને કાલે ફરી મળીશું કહી અમે છુટા પડ્યા.

સર્વ નાગરિક એકસમાન (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી -૩)

untitled=-=-
સર્વ નાગરિક એકસમાન (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી -૩)

અમારી ગામગપાટા મંડળીમાં શનિ -રવિ હોય એટલે બેચાર સભ્યો બીજા ઉમેરાઈ જાય. પચીસેક વર્ષની નિકિતા એચ-૧ વિઝા ઉપર આવેલી છે તેને શનિ-રવિ સિવાય ટાઈમ મળે નહિ ફરવાનો. એક ભારતીય ફૅમિલીમાં પેઈંગ ગેસ્ટ રહે છે. બેઝમેન્ટમાં નાની રૂમ જેટલી જગ્યા મળી જાય. એક એરબેડ વસાવી લેવાનો. એક ટાઈમ ચા નાસ્તો અને એક ટાઈમ જમવાનું મળી જાય તેના મહીને ચારસો-પાંચસો ડોલર્સ ચૂકવી દેવાના. એક જૂની કાર લઈ લેવાની. નહિ તો અમુક માણસો રાઈડ આપવાનો ધંધો ઘેરબેઠાં કરતા હોય છે, ફોન કરો એટલે સ્થળ ઉપર લઈ જાય અને પાછાં મૂકી જાય. મોંઘું પડે પણ શરૂઆતમાં લાઇસન્સ મળ્યું ના હોય, કાર ખરીદવાના પૈસા ભેગાં થયા ના હોય તો શું કરવાનું? ભારતમાં ઊછરેલી અને ગુજરાતમાં રહેતા અમારી ઉંમરના એના માબાપને મિસ કરતી નિકીતાને અમારી મંડળીમાં ગામગપાટા મારી ખૂબ સારું લાગતું, બાકી અહીં બોર્ન થયેલી યુવા પેઢીને અમારા જેવડા આધેડ ઘરડાઓની કંપનીમાં વધારે સમય પસાર કરવો ફાવે નહિ.

નિકીતા અવતાવેત સમાચાર લાવી કે ભારતમાં હવે જૈન લોકોને કાયદેસર લઘુમતીનો દરજ્જો પ્રાપ્ત થઈ ગયો અને લઘુમતીને મળતા તમામ સામાજિક, આર્થિક અને કાયદાકીય લાભ એમને મળવાના. સંભાળીને પ્રથમ તો મને ખૂબ હસવું આવ્યું. મેં કહ્યું ચાલો હવે સ્કૂલમાં હિંદુ-જૈન લખાવતા હતા તેના બદલે એકલાં જૈન લખાવશે. આમેય ઘણા જૈન મુનિઓ વિરોધ કરતા જ હતા કે અમે હિંદુ નથી જૈન છીએ. જો તમે હિન્દુને ધર્મ સમજતા હોવ તો જૈન હિંદુ નથી પણ જો તમે હિન્દુને સંસ્કૃતિ સમજતા હોવ, એક વિચારધારા સમજતા હોવ કે જીવન જીવવાનો એક તરીકો સમજતા હોવ તો જૈન હિંદુ જ છે.

અંબુકાકા કહે જૈન લઘુમતી શબ્દના અર્થમાં કહીએ તો લઘુમતી તો ખરા જ ને? મેં કહ્યું બેશક એમને સંખ્યા અને જૈન ધર્મી સમજો તો લઘુમતીમાં જ ગણાય. આમ તો હિંદુઓમાં પણ કેટલા બધા સંપ્રદાય છે? જૈનોમાં જ ચાર ફાંટા છે, તેમ સ્વામીનારાયણ સંપ્રદાયમાં પણ ચારપાંચ ફાંટા છે. આમ દરેક સંપ્રદાયવાળા એમ કહેશે કે અમે સંખ્યાની દ્રષ્ટીએ ઓછા જ છીએ તો અમને પણ લઘુમતીમાં ગણો. નિકીતાનો સવાલ એ હતો કે તમે લઘુમતીમાં ગણાવાનું પસંદ શા માટે કરો? મેં કહ્યું બેશક લઘુમતીને મળતા સ્પેશલ લાભ મેળવવા હોય. બાકી તમને કોણ મારી નાખે છે?

શાંતિભાઈ અત્યાર સુધી ચુપ હતા તે બોલ્યા ભાઈલા આ બધું રાજકારણ છે. ચૂંટણી આવી રહી છે તેના આ બધા નાટક છે. ભાગલા પાડો રાજ કરો અંગ્રેજો શીખવી ગયા છે. બાકી ભારતમાં તો ઠીક અમેરિકામાં ભારતીયોમાં ગણીએ તો પણ જૈનો જ વધુ સમૃદ્ધ છે. ભારતમાં પણ સ્ટોક માર્કેટ, કાપડ માર્કેટ, ઉદ્યોગધંધા, ડાયમંડ માર્કેટ બધામાં જૈનોની જ બોલબાલા છે, એજ્યુકેશનમાં પણ જૈન સમાજ જ બધા કરતા આગળ છે. તો એમને લઘુમતીમાં ગણાઇને ફાયદા લેવાની ક્યાં જરૂર છે?

મેં કહ્યું દલિતો માટે આદિવાસી માટે અનામતનો કૉન્સેપ્ટ બરોબર હતો કે સદીઓથી એમને ઇરાદાપૂર્વક પછાત રાખવામાં આવ્યા છે તો થોડી સ્પેશલ સગવડો આપ્યા વગર .

નિકિતા થોડી અપસેટ થઈ ને બોલી પહેલા તો વર્ણ વ્યવસ્થાને લીધે અસમાનતા ઊભી થઈ. મેં કહ્યું એક પાણીનો ગ્લાસ ઢોળાઈ ગયો તે પાણી હવે ગ્લાસમાં પાછું જવાનું નથી. હવે હું તારો ગ્લાસ ઢોળું તું મારો ઢોળે એનો કોઈ અંત આવે નહિ. ફરી કોઈના પણ ગ્લાસ ઊંધા પડે નહિ તે જોવાનું છે. જૈનોને તો ડબલ ફાયદો ઉચ્ચ વર્ણના લોકોએ સદીઓ સુધી પછાત લોકોનું શોષણ કર્યું એમાં જૈનો ઉચ્ચ વર્ણ તરીકે તે શોષણ કરવામાં સામેલ જ હતા હવે લઘુમતીમાં એન્ટ્રી મારી ફરી લાભ લેવા પણ તૈયાર. images=-=-=-

બધી મગજમારી આ વર્ણ વ્યવસ્થા અને જ્ઞાતિપ્રથાને લીધે ઊભી થઈ છે કમુબેન બોલ્યા. મેં કહ્યું સાચી વાત છે. વર્ણ વ્યવસ્થાને લીધે જ્ઞાતિવાદ સજ્જડ હોવાના લીધે બે કોમ વચ્ચે કોઈ પ્રેમભાવ લાગણી રહી નહિ અને એના લીધે રાષ્ટ્રવાદ કમજોર બનતો ગયો. હવે અંગ્રેજો તો ૧૭૫૭માં આવ્યા તે પહેલાથી જ્ઞાતિપ્રથા હતી જ તો ભાગલા પાડો રાજ કરો અંગ્રેજોએ શીખવ્યું કે આપણે અંગ્રેજોને હિન્ટ આપી? આપણને વાતે વાતે અંગ્રેજોને ભાંડવાની નપુંસક ટેવ પડી ગઈ છે કેમકે આપણને આપણી ભૂલો દેખાતી જ નથી.

સાચી વાત છે રાઓલભાઈ તમારી મંજુબેન બોલ્યા, આપણે ત્યાં કોઈ પ્રેમપ્રકરણ પકડાય કોઈ આપઘાત કરે તરત હોબાળો મચી જાય કે પશ્ચિમનું આંધળું અનુકરણ. આ દુર્યોધન દ્રૌપદીના ચીર ખેંચવા ભરી સભામાં તૈયાર થયેલો તે અંગ્રેજો જોડે કે પશ્ચિમ જોડે શીખવા ગયેલો? આ રાવણ સીતાજીનું અપહરણ કરવાની ટ્રેનીગ લેવા અમેરિકા ગયેલો? વિશ્વામિત્ર અને મેનકા લફરાં કરવાનું શીખવા બ્રિટન ગયેલા નહિ? મંજુબેનનો આક્રોશ સાંભળી અમે બધા હસી પડ્યા.

મેં કહ્યું ખરેખર તો કોઈ બહુમતી કે લઘુમતી જેવા વર્ગીકરણ કરવા જ ના જોઈએ. આ દેશના સર્વે નાગરીકો સમાન હોવા જોઈએ, ના કોઈ દલિત, ના કોઈ ઉચ્ચ વર્ણ, ના કોઈ નીચા વર્ણ, ના કોઈ આદિવાસી. આવા ભેદભાવની પરખયુક્ત કે સમજયુક્ત શબ્દો જ ડીક્શનેરીમાં હોવા ના જોઈએ. કાયદો કાનૂન બધા માટે એકસમાન હોવો જોઈએ. આર્થિક રીતે કમજોર હોય પછી ગમે તે કોમનો, જાતનો કે ધર્મનો હોય તેને એની યોગ્યતા મુજબ મદદ લાભ મળવો જોઈએ. ફક્ત સંખ્યાના આધારે કોઈ સમૃદ્ધ જાતી લઘુમતીમાં ગણાઇને લાભ લેવા દોડી જાય એ તો નવાઈ જેવું લાગે છે.

અમે બધા તો અમેરિકામાં નવા કહેવાઈએ પણ અંબુકાકા બહુ જુના રહેવાસી કહેવાય. તે કહે અમેરિકામાં કોઈ પણ ધર્મ પાળવાની છૂટ છે અને ધર્મ ના પાળવો હોય તેની પણ છૂટ છે. અહીં કોઈ પામ જગ્યા એ કોઈ ફોર્મ ભરવાના હોય તો તમારે તમારો ધર્મ લખવાની પણ છૂટ છે. તમારી Race પણ લખવાની હોય છે. પણ અહીં કાયદા તમામ નાગરીકો માટે સમાન છે. તમે જાતિ, race, ધર્મ કે જેન્ડર આધારિત ભેદભાવ કરી શકો નહિ. ડીસ્ક્રીમીનેશન અહીં ગુનો ગણાય છે. ધર્મ ગમે તે પાળો કાયદા સરકારના પાળો.. હોસ્પિટલો વગેરેમાં કોઈપણ ભેદભાવ વગર જો તમે આર્થિક રીતે નબળા હોવ તો સારવારનું બીલ ચેરિટીમાં જાય. બાકી આ તો આખો દેશ ઇમિગ્રન્ટ લોકો વડે બનેલો છે. લઘુમતીઓ ગણવા બેસો તો પાર જ આવે નહિ..

શાંતિભાઈ કહે સૌરાષ્ટ્રના લોહાણા સમાજના કોઈ આગેવાને આવી રીતે ભૂતકાળમાં લોહાણા કોમને લઘુમતીમાં મૂકવાની વાત કરેલી તો લોહાણા સમાજે જ વિરોધ કરેલો ને વાત પડતી મૂકાયેલી.

મેં કહ્યું આપણે બધા અહીં વાતોના વડા કરીએ છીએ એની કોઈ અસર ત્યાં પડવાની નથી, ચાલો હવે ઘેર ભાગીએ.. સી યુ ટુમોરો….

કાયદો પહેલો કે માણસ?

 untitledકાયદો પહેલો કે માણસ?

ભારતમાં પહેલા માણસ જોવાય છે, પછી કાયદો. હું એકવાર વડોદરામાં ન્યાયમંદિર બાજુ ફરતો હતો. પદ્માવતી શોપિંગ સેન્ટર બાજુથી એક કાયનેટીક હોન્ડા જેવા સ્કૂટર માથે ત્રણ છોકરા બેઠેલા ધમધમાટ કરતા લહેરીપુરા ગેટ બાજુથી સાધના ટૉકીઝ બાજુ જતા હતા. હું ત્યાં ફુવારા પાસે ઊભો હતો. ત્રણ સવારી અને તે પણ લાઇસન્સ ના હોઈ શકે તેવડા ત્રણ છોકરા જોઈ ત્યાં ઊભેલા એક સામાન્ય પોલીસવાળાએ પેલાં છોકરાઓને ઉભા રાખી ત્યાંની ભાષા પ્રમાણે મેમો આપી દીધો. થોડી રકઝક ચાલી, છોકરાઓ દાદાગીરી કરવા લાગેલા. પછી મને જાણવા મળ્યું કે સ્થાનિક ધારાસભ્યનો છોકરો સ્કૂટર ચલાવતો હતો અને એના મિત્રો પાછાં બેઠેલા હતા. વાત આગળ વધી ગઈ, બીજે દિવસે જાણવા મળ્યું કે પેલાં પોલીસવાળાને સસ્પેન્ડ કરવા સુધી વાત પહોચી ગયેલી, ધારાસભ્ય સમાધાન કરવા રાજી નહોતા, એક ધારાસભ્યના છોકરાને અટકાવવા બદલ તેને પૂરી સજા કરવાની હતી પણ મોટા સાહેબોએ દરમ્યાનગીરી કરી હોય કે પોલીસવાળો કરગરી પડ્યો હોય તેની ત્યાંથી બદલી કરી નાખવામાં આવેલી. મારા એક રીલેટીવ દાંડિયા બઝાર બાજુ એક પોલીસ ચોકીમાં ફોજદાર હતા તો હું કોઈ વખત ત્યાં બેસવા જતો. તેમણે પણ ઉપરોક્ત બનાવની ચર્ચા કરતા કહ્યું પેલાં પોલીસવાળાએ પ્રેક્ટીકલ બનવું જોઈતું હતું. ધારાસભ્યનાં છોકરા જોડે પંગો નહોતો લેવા જેવો..

આ જે કાયદાપાલનમાં પ્રેક્ટીકલ બનવાની માનસિકતા સમગ્ર ભારતમાં છે તે ઓળખી લેવી જોઈએ. હું પોતે પણ આ સિસ્ટમમાં ૫૦ વર્ષ જીવ્યો જ છું. ભારતમાં માણસ પહેલો જોવાય છે કાયદો પછી જ્યારે અમેરિકામાં કાયદો પહેલા જોવાય છે માણસ પછી, કાયદા આગળ લગભગ માણસ જોવાતો જ નથી કે તે કોણ છે? એટલે આ બે દેશો વચ્ચે કાયદાપાલનની બાબતમાં જે મૂળભૂત ડિફરન્સ છે તે ઓળખી લેવો જોઈએ. એટલે દેવયાની જેવા કહેવાતા મોટા માથાને અમેરિકન સરકાર એક સામાન્ય માનવીની જેમ કાયદાપાલન વિષે ટ્રીટમેન્ટ આપે ત્યારે સમગ્ર ભારતની એવરીજ માનસિકતાને ધક્કો લાગે છે. માનવી સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલો છે અને સમૂહને વ્યવસ્થિત ચલાવવા કાયદા-કાનૂન, નિયમો બનાવવા પડતા હોય છે. એકલદોકલ વ્યક્તિ એના ફાયદા માટે આખા સમાજનો નિયમ તોડે તો સમાજ ખોરવાઈ જવાનો.

કાયદા આગળ સર્વ સમાન તેવું આપણી માનસિકતામાં જલદી ઊતરે જ નહિ માટે નક્કી કોઈ કાવતરું હશે તેવું માનવા મન પ્રેરાય છે. અને કાવતરું જ છે તેવું સાબિત કરવાના પ્રયત્નો પણ ચાલુ થઈ જતા હોય છે. એમાં આખો દેશ તણાઈ જાય કારણ આખા દેશની માનસિકતા સરખી જ રહેવાની. મીડિયા હોય કે સોશિઅલ મીડિયા હોય કે નેતાઓ હોય એવરીજ માનસિકતા તો સરખી જ હોય ને? અરે આવી ભેદભાવભરી સિસ્ટમમાં જેને અન્યાય થયા હોય તેમની માનસિકતા પણ એવી જ હોય છે. બહુ ઓછા લોકો આ દેશમાં એવું માનતા હોય છે કે કાયદો બધા માટે સરખો હોવો જોઈએ. અહીં તો ધર્મે ધર્મે, સંપ્રદાયે સંપ્રદાયે, કોમે કોમે, નાતે-જાતે કાયદા અલગ અલગ હોવા જોઈએ તેવું માનવાવાળો દેશ છે. અને અમીરો માટે તો કાયદાની આમેય ક્યાં જરૂર છે? મુકેશ અંબાણીની એસ્ટોન માર્ટીન ચાર જણને ચગદી નાખશે તો શું થવાનું? જસ્ટ દાખલો આપું છું. મુકેશનો છોકરો દારુ પી ને કાર ચલાવતો હશે તો કોઈ ભાડૂતી ડ્રાઇવર એની જગ્યાએ આવી જશે. આ અમેરિકા થોડું છે કે બુશ પ્રેસિડન્ટ હોય છતાં એની છોકરીને કોર્ટમાં જવું પડે? અને એને કોર્ટમાં લઈ જનારા પોલીસને કોઈ ચિંતા જ ના હોય?

  એટલે ભારતમાં વાહન લઈ જતા હોઈએ અને કોઈ પોલીસ રોકે તો પહેલા તો એના તેવર જુદા હોય. પછી જ્યારે નામ દઈએ, પિતાશ્રીનું નામ દઈએ, કઈ કોમ કે નાત ધરાવીએ છીએ તે કહીએ એટલે તેના તેવર બદલાઈ જાય. હું તો રાઓલ અટક અને ગામ માણસા કહું એનામાં તરત નમ્રતા આવી જાય. આપણે પણ ફુલાઈને ચાલતી પકડીએ. એટલે પહેલીવાર અમેરિકામાં આઠ વર્ષે પોલીસવાળાએ રોકી મને કહ્યું “ સર ! તમારે કારમાંથી ઊતરવાની જરૂર નથી, હું ફલાણો પોલીસ ઓફિસર છું અને તમે આ જગ્યાની બાંધેલી સ્પીડ કરતા વધુ સ્પીડે કાર ચલાવી છે માટે તમારું લાઇસન્સ અને કારનું રજિસ્ટ્રેશન વગેરે આપો.” મને તો એણે ‘સર’ કહ્યુંને મજા પડી ગઈ. છતાં મને ખબર હતી કે ગુનાની ગંભીરતા કે પરિસ્થિતિ જોઈ આ જ પોલીસવાળો મને રોડ પર ઊંધા પાડી એના સ્વખર્ચે વસાવેલી હાથકડી પહેરાવતા જરાય વાર નહિ કરે.

આપણે ત્યાં લાલુઓ, દત્તો, સલમાનો માટે કાયદાપાલન બાબતે જુદા કાટલાં છે અને બબલો, છગનીયો, ભીખલો કે મગનીયા માટે કાટલાં જુદા છે. એટલે બધા માટે કાટલાં સરખાં હોય તેવું આપણી માનસિકતામાં અચેતનરૂપે ઊતરે જ નહિ. એટલે પછી લાલુઓ, દત્તો, સલમાનો માટે બબલો, છગનીયો, ભીખલો અને મગનીયો કાવતરા કરી રહ્યા હોય તેવું લાગતું હોય છે. એટલે અમેરિકાની કાયદાપાલન સિસ્ટિમ આપણા દિમાગમાં ઊતરતી નથી અને અમેરિકા ભારતને નીચું પાડવા કાવતરા કરી રહ્યું હોય તેમ સામાન્ય પ્રજાજનોને પણ લાગતું હોય છે.

આ પ્રીત ભરારા ઇન્ફન્ટ એટલે તાજું જન્મેલું બચ્ચું હતા અને અમેરિકા આવી ગયેલા. એમની સમજમાં કે બ્રેનમાં હોય જ નહિ કે દેવયાની જેવા મોટા ઓફિસર અને મોટા માથા પર કાયદાકીય પગલા લેવા પાપ કહેવાય. દેવયાની અને એની નોકરાણી સંગીતા રીચાર્ડનાં કેસ વિષે આપણે ન્યાય તોલવા બેસવાની જરૂર નથી. તે બધું જે તે સત્તાવાળા અને જે તે ન્યાયાધીશો કરશે. મારે તો જસ્ટ માનસિકતાની વાત કરવી છે. દેવયાની અને સંગીતા બંને વધતાઓછા દોષી હશે જ. પણ અમેરિકામાં સંગીતા એક નોકરાણી છે ગરીબ છે અને દેવયાની એક કૉન્સ્યુલેટ છે, ડિપ્લોમેટ છે અમીર છે તેવા ધારાધોરણ ધ્યાનમાં લેવામાં આવશે નહિ અને ભારતમાં આ બધું ધ્યાનમાં લેવામાં આવશે. ભલે અમેરિકાએ સદીઓ સુધી ગુલામો રાખ્યા હશે પણ આજે અમેરિકા સ્લેવરિ બાબતે ખૂબ સેન્સીટીવ છે. ફેડરલ ગવર્નમેન્ટ નક્કી કરે તેના કરતા ઓછા પગાર આપવો સ્લેવરિ જેવું ગણાય.

તમે મોદી સરકારના એક સામાન્ય પોલીસવાળા હોવ અને ખુદ મોદી કારમાં સીટ બેલ્ટ બાંધ્યા વગર જતા હોય તો મેમો આપી શકો ખરા? સપનામાં પણ એવો વિચાર આવે નહિ. અમેરિકામાં ડ્રાઈવરે અને કારમાં આગળ બેઠેલાએ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત છે. અહીં પ્રમુખ પદ્ધતિ છે માટે રાજ્યના ગવર્નર સીધા પ્રજા દ્વારા ચૂંટાયેલા અને ભારતના કોઈ મુખ્યમંત્રી જેવા સર્વેસર્વા જ સમજી લો. ન્યુ જર્સીના ગવર્નર કોરઝાઈનને એના જ પોલીસવાળાએ બેલ્ટ ના બાંધવા બદલ ટીકીટ(મેમો) આપી દીધેલો.

અહીં અમેરિકામાં ભારતીયોનું શોષણ બીજા ભારતીયો દ્વારા જ થતું હોય છે. મોટેલોમાં અને સ્ટોરોમાં એના ભારતીય માલિકો દ્વારા એમના ભારતીય નોકરોનું બેફામ અને માનવતા નેવે મૂકીને શોષણ કરાતું  હોય છે. પણ એમાં તેરી બી ચુપ મેરી બી ચુપ જેવો ઘાટ હોય છે. ફેમિલીફાઈલો ઉપર અમેરિકા આવી ગયેલા નિરક્ષર ભારતીયો જે મળે તે અને જ્યાં મળે ત્યાં કામ કરવા રાજી હોય છે. અહીં કોઈ કામ નાનું કે મોટું ગણાતું નથી માટે કરવામાં તો શું શરમ રાખવાની? પણ જે મળે તે કામ કરી લેવાની મજબૂરીનો જબરદસ્ત લાભ ભારતીયો જ લેતા હોય છે. કોઈ શ્વેત-અશ્વેતનું શોષણ તમે કરી શકો નહિ. કોર્ટના ધક્કા ખાતા કરી મૂકે. એટલે અભણ, વૃદ્ધ અને અશક્ત ભારતીયોનું શોષણ આપણા ભારતીયો જ કરતા હોય છે. ડીસ્ક્રીમીનેશન અહીં મોટો ગુનો છે. સ્ત્રીઓના મોઢા ના જોવાય પણ પુરુષનું નિતંબશોષણ કરવામાં જરાય વાંધો નહિ તેવી પવિત્ર માનસિકતા ધરાવતા સંપ્રદાયનાં સંતો એક ભારતીયની મોટેલમાં એમના પવિત્ર વાઈબ્રેશન ફેલાવી તેને કૃતાર્થ કરવા પધાર્યા ત્યારે પેલાં ભારતીય મોટેલ માલિકે એમની અશ્વેત કર્મચારી એવી મહિલાને સ્થળ છોડી જવા ફરમાન કરેલું. પેલી મોટેલસ્થળ છોડી કોર્ટસ્થળે પહોચી ગયેલી એમાં પેલાં ભારતીય મોટેલ માલિકને બહુ મોટો દંડ untitled-=-ભોગવવો પડેલો.

શોષણ થવા દેવા માટેની તમારી મજબૂરીઓને લીધે તમે કેસ કરો નહિ તો સરકારને ક્યાંથી ખબર પડવાની હતી? જો તમને જ તમારું શોષણ મંજૂર હોય તો સરકાર શું કરવાની હતી? ભારતમાં આપણને કોઈ બેપાંચ હજાર પગારમાં રાખવા તૈયાર ના હોય અને અહીં અમેરિકા ૨૫-૩૦ હજાર રૂપિયા આપી લાવવા તૈયાર થઈ જાય તો એકંદરે લાભ બંનેને છે. પણ આ ૨૫-૩૦ હજાર એટલે આશરે ૫૦૦ ડોલર તે પણ મહીને અહીંના ધારાધોરણ મુજબના કહેવાય નહિ. આટલાં તો અઠવાડિયે મળવા જોઈએ.

વધુ પડતા આત્મવિશ્વાસમાં એકવાર ૯/૧૧ ઘટના બની ગયા પછી અમેરિકા વધુ પડતું સાવચેત થઈ ગયેલું છે. અને તે જરૂરી છે. આપણા ફિલ્મી ટાયડા કે લઘરવઘર ફરતા નેતાઓના માન સાચવવાની લ્હાયમાં અમેરિકન પ્રજાની સુરક્ષા હોડમાં મૂકે તેવું અમેરિકા નથી. આ લેડી ગાગા મુંબઈથી અમદાવાદ રોડરસ્તે એના કાફલા સાથે આવતી હોય તો મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પર એની કોઈ ચકાસણી થાય ખરી? ચાલો એના બદલે સુનિધિ ચૌહાણ કે શ્રેયા ઘોષાલ હોય તો પણ કોઈ તપાસે નહિ. પણ અહીં લેડી ગાગા એક સ્ટેટ બદલી બીજા સ્ટેટમાં જતી હોય તો કુતરાઓની આખી ફોજ સાથે પોલીસ એના કાફલાની પૂરી ચકાસણી કરી લે, એમાં લેડી ગાગા પણ હસતી હસતી સહકાર આપે. ઘણીવાર જરૂરિયાત નિયમો બનાવી લેવા પ્રેરતી હોય છે. આંતરવસ્ત્રો તપાસવાના પહેલા કોઈ નિયમો હતા નહિ. પણ કોઈએ આંતરવસ્ત્રો અને ગુપ્તાંગોનાં ખાડાખૈયામાં કશું છુપાવ્યું હશે જે મળ્યું હશે માટે બધું તપાસવાના નિયમો બની ગયા હશે. સમાજની સુરક્ષા માટે બનાવેલા નિયમોનું આકરું પાલન આપણી સમજમાં જલદી ઊતરતું નથી કારણ આપણે ત્યાં માણસ એનું સ્ટેટ્સ એના પૈસા બધું પહેલા ગણતરીમાં લેવાય છે કાનૂન પછી.

હું એવું નથી કહેતો કે અમેરિકા ભૂલો નથી કરતું કે બહુ મહાન છે પણ આપણે ત્યાં માણસ પહેલા જોવાય છે પછી કાયદો જ્યારે અહીં કાયદો પહેલા ગણતરીમાં લેવાય છે માણસ પછી માટે આ બેસિક તફાવત ધ્યાનમાં રાખવો જોઈએ.. જો કે માણસ જાતના ઇતિહાસમાં ડીસ્ક્રીમીનેશન કરવામાં સદીઓથી અવ્વલ નંબરે રહેલી પ્રજાના મનમાં આ વાત જલદી નહિ ઊતરે તે પણ હકીકત છે.

નોંધ: મિત્રો જમણા હાથે કોણીમાં ફ્રેકચર છે નિયમિત લખવું મુશ્કેલ છે, એક હાથે તે પણ ડાબા હાથે લખવું અઘરું છે છતાં ટ્રાય કર્યો છે.

સંજય લીલા ભણશાળીની સર્જનાત્મક બૌદ્ધિક બદમાશી

સંજય લીલા ભણશાળીની સર્જનાત્મક બૌદ્ધિક બદમાશી

પીંઢારા શબ્દ વિષે કેટલા જાણતા હશે? આ શબ્દ શેના માટે વપરાય છે તે પણ મોટાભાગના લોકોને ખબર નહિ હોય. ભણેલા ગણેલા અને રાજકીય બાબતોમાં રસ ધરાવનાર લોકોમાં આ શબ્દ થોડોઘણો પ્રચલિત છે એનું કારણ બ્રિટનના બીજા વિશ્વયુદ્ધ સમયના વડાપ્રધાન ચર્ચિલ છે. કારણ ભારતને આઝાદી આપવાના નિર્ણય સામે તે સમયના બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન ઍટલીને આ ચર્ચિલે કહેલું કે તમે ઠગ અને પીંઢારાઓને રાજ પાછું આપી રહ્યા છો. ચર્ચિલનું આ વાક્ય ઇતિહાસમાં અમર થઈ ગયું છે. અને આપણા નેતાઓએ આ વાક્ય સાચું પણ પાડ્યું કે ખરેખર ચર્ચિલ સાચો હતો. સ્વિસ બેન્કોમાં પડેલા ભારતના લોકોની પરસેવાની કમાણીના ૧૫૦૦ બિલ્યન ડૉલર્સ એની સાબિતી છે. હવે તો સમજાઈ ગયું હશે કે પીંઢારા શબ્દ શેના માટે વપરાતો હશે.

મૂળ પીંઢારા મુઘલ બાદશાહોનાં મોટાભાગે નામ પાછળ ખાન લગાવતા પઠાણી સૈનિકો હતા. કાળક્રમે પગાર આપવાના ફાંફાં પડી જતા છૂટાં મૂકી દેવાયેલા ભૂખ્યા વરુઓ. મુસલમાન ઇતિહાસકાર ફીરીસ્થાએ ઈ.સ.૧૬૮૯માં નોંધ્યા મુજબ  ઔરંગઝેબના લશ્કરમાં મુસલમાન પઠાણોની અમુક ટુકડીઓ સામાન્ય નાના નાના કામો માટે રાખવામાં આવતી હતી. મુસલમાનો નબળા પડ્યા ને મરાઠાઓ મજબૂત થયા ત્યારે આ ટુકડીઓ મરાઠાઓના લશ્કરમાં કામ કરવા લાગી. છત્રપતિ શિવાજી સુધી તો એમની સેવાઓ લીધી નહોતી,  પણ બાલાજીરાવે ગર્દીખાનની રાહબરી નીચે આ લોકોને સેવામાં રાખ્યા. આ લોકોનું કામ યુદ્ધ પત્યા પછી સામી છાવણીઓમાં આતંક ફેલાવવાનું અને લૂંટફાટ મચાવી બધું સળગાવી દેવાનું રહેતું. એટલે પીંઢારાનો જન્મદાતા ઔરંગઝેબ અને એમનો વિકાસ કરનારા  પાલનહાર એટલે મરાઠા.

લુટારાઓની  કોઈ જાત હોતી નથી. નર્મદાનો ખીણ પ્રદેશ આ લોકોનો ગઢ હતો. સંતાડેલા ગુપ્ત ધનની માહિતી ઓકાવવા પીંઢારા માણસના નાક અને મુખમાં ગરમ કોલસા અને રાખ ભરતા, એની સ્ત્રી પર બળાત્કાર કરતા, એના બાળકના તલવાર વડે બે ભાગ કરી નાખતા. ગામના મુખીને પકડીને આખી રાત ટૉર્ચર કરતા જેથી ગામના લોકો વધુને વધુ ધન આપે, મુખીનું એક એક અંગ ધીમે ધીમે કાપતા અને છેવટે એનું હૃદય કાઢી લેવામાં આવશે તેવી ચેતવણી આપતા. આ પીંઢારાઓનો નાશ મરાઠી રાજાઓનો સહકાર લઈને અંગ્રેજોએ કરેલો એના માટે અંગ્રેજોને થેન્ક્સ કહેવા જોઈએ.

હવે સલમાનખાનનું ‘વીર’ મુવી જેણે જોયું હશે તેને ખયાલ આવી જશે કે આ ખાન બંધુઓએ કેવી રીતે સર્જનાત્મક બૌદ્ધિક બદમાશી કરી છે. કદાચ એમના મૂળિયા આ પીંઢારાઓમાં હોવા જોઈએ. એટલે ‘વીર’ મુવીમાં પીંઢારાઓને દેશભક્ત અંગ્રેજોમાં સામે સ્વતંત્રતાની લડાઈ લડતા વીર સૈનિકો બતાવી દીધા. ઇતિહાસની માબેન સર્જકતાને બહાને કરી નાખી. ફિલ્મ શરુ થતા લખી નાખવાનું કે આ કાલ્પનિક વાર્તા છે કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહિ. પણ લોકોના મનમાં દ્રશ્યશ્રાવ્ય મીડિયાની ભયાનક અસર પડતી હોય છે. આપણે જોએલું  જલ્દી સાચું માની લેતા હોઈએ છીએ ભલે પડદા ઉપરનું હોય. ફિલ્મોમાં કે ટીવીમાં દ્રૌપદીનાં ચીર પૂરતા કૃષ્ણને જોઈ કોઈને વિચાર નહિ આવે કે તે ૫૦૦૦ વર્ષ પહેલાના જમાનામાં સુરતની સાડીઓ હતી નહિ.

મિત્ર રાજીવ જોશીનું કહેવું છે કે “સામ્યવાદની અસર હેઠળ બંગાળી ફિલ્મ નિર્માતાઓએ જમીનદાર કાયમ ખરાબ, વ્યાપારી અને પૂજારી હંમેશા લુચ્ચો સાથે ભારતની ગરીબી અને ઝૂપડપટ્ટીઓનું ચિત્રાંકન કરી વિદેશોમાંથી ખૂબ એવૉર્ડ ભેગાં કરેલા. મુસ્લિમ ચાચા હમેશાં ઈમાનદાર, હીરો મંદિરમાં ના જાય પણ ૭૮૬ના  બિલ્લાને આખો દિવસ માથે લગાવ્યા કરે અને અડ્ડા બધા માઈકલનાં જ હોય.”

મૅમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છે તે સોશિઅલ સાયન્સની રીતે જોઈએ તો જૈવિક સત્ય છે. પોતાના સમૂહથી છુટું પડેલા કોઈ પણ મૅમલ પ્રાણીનાં બ્રેનમાંથી તરત સ્ટ્રેસ કેમિકલ કૉર્ટીસોલ છૂટવા લાગે છે તે સંભવિત જોખમનો ઉપાય કરો તેની સૂચના આપતું હોય છે. જલ્દી સમૂહમાં પાછાં ભળી જાઓ નહીતો માર્યા જશો તેવી ચેતવણી આપતું હોય છે. ટોળાથી વિખૂટું પડેલું ઘેટું તરત મેં મેં કરવા લાગતું હોય છે. બીજા મૅમલ પ્રાણીઓ કરતા માનવો મોટું વિચારશીલ બ્રેન ધરાવે છે એટલે બહુ મોટી કૉમ્પલેક્ષ સમાજ વ્યવસ્થા ધરાવે છે. પહેલો સમૂહ વ્યક્તિનું અંગત કુટુંબ હોય છે, માબાપ અને એમના સંતાનો. એના કરતા થોડો મોટો સમૂહ કાકાબાપા પિતરાઈ ભાઈઓ વગેરેનો સમૂહ હોય છે. પછી સમૂહ વિસ્તરતા એકજ બ્લડ લાઈન ધરાવતી જ્ઞાતિ અને વંશ આવે. વળી આવા અલગ વંશ કે જ્ઞાતિ ભેગી થઈને વસતું ગામ પણ એક જાતનો વિશાલ ફલક પરનો સમૂહ જ ગણાય. આમ પ્રાંત અને દેશ પણ બહુ મોટા મોટા ફલક પરના સમૂહ કહેવાય.

પ્રાણીઓને બહુ વિચારવાનું હોતું નથી માટે એમની સમાજ વ્યવસ્થા બહુ જટિલ હોય નહિ. માનવી ખૂબ વિચારે છે માટે એની સમાજ વ્યવસ્થા બહુ જટિલ હોય છે. માનવીનો પ્રૉબ્લેમ હોય છે કે અમુક સમય સમૂહમાં રહીને પણ એકલો જીવવા માંગતો હોય છે. મોટા સમૂહના રક્ષણ સાથે બહુ નાના ગૃપમાં રહેવાની ઇચ્છા ધરાવતો હોય છે. કોઈ લગ્ન કે પાર્ટીમાં સૌ પોતાના નાના ગૃપ બનાવી બેસી જતા હોય છે. સામાજિક બહિષ્કાર વખતે જીવના જોખમ જેટલું જ જોખમ એનું બ્રેન અનુભવતું હોય છે. ગામ, પ્રાંત કે દેશમાં જુદા જુદા સમૂહો ભેગાં જ રહેતા હોય છે છતાં આ સમૂહો એકબીજા વડે જોખમ અનુભવતા હોય છે. એકબીજાની સાથે રહેવું છતાં એકબીજા વડે જોખમ-થ્રેટ અનુભવવાનું સામાન્ય હોય છે.

ઘરમાં લડતા ભાઈઓ કુટુંબ સામું પડે ત્યારે એક થઈ જતા હોય છે. કુટુંબમાં લડતા વ્યક્તિઓ પણ ગામનાં લોકો લડવા આવે ત્યારે એક થઈ જતા હોય છે. મોટા સમૂહ તરફથી થ્રેટ અનુભવાય તો નાના નાના સમૂહ એક થઈને મોટો સમૂહ બનાવી મુકાબલો કરતા જ હોય છે. આ થીઅરી જુઓ તો બીજા રાજ્ય તરફથી જોખમ અનુભવાય તો સમગ્ર ગુજરાત અમે ગુજરાતી તરીકે એક થઈ જવાનું ભલે રોજ અંદર અંદર લડતા હોય. આમ જ પાકિસ્તાન સામે આખું ભારત એક થઈ જવાનું તે વખતે આમચી મુંબઈ, જય જય ગરવી ગુજરાત કે જય મહારાષ્ટ્ર જેવા મંત્ર ભુલાઈ જતા હોય છે. ત્યારે ભારત માતાકી જય સહુ પોકારવા લાગશે. કોઈ પરગ્રહવાસી ચડી આવે તો સમગ્ર પૃથ્વી પરના માનવ સમૂહો કે જેને આપણે દેશો તરીકે ઓળખીએ છીએ તે એક થઈ જવાના. નાના સમૂહના સ્વાર્થ કરતા મોટા સમૂહનો સ્વાર્થ કે ફાયદો ઉત્તમ ગણવામાં આવતો હોય છે, એને આપણે પરમાર્થ કહેતા હોઈએ છીએ. કુટુંબ માટે વ્યક્તિઓ બલિદાન આપતા હોય છે. રાષ્ટ્ર માટે જાતિવાદ અને પ્રાંતવાદ ભૂલી જવો પડતો હોય છે. સમાજ મતલબ પોતાના મોટા સમૂહ માટે વ્યક્તિગત ફાયદા ભૂલીને સમાજના હિતમાં કામ કરે તેને પરમાર્થ કહેવાય. વ્યક્તિગત હિત જવા દઈને આખા ગામ કે જેમાં બીજા સમાજો પણ રહેતા હોય છે તેવા સમગ્ર ગામ, રાજ્ય કે દેશ માટે કામ કરે તેને સ્વાભાવિક ઊંચું ગણવામાં આવે.

   ચાલો આટલાં પિષ્ટપેષણ પછી મૂળ વાત પર પાછાં ફરીએ. ૧૯૯૯માં કચ્છનાં નખત્રાણા તાલુકામાં બિબર ગામમાં થયો હશે કોઈ વિખવાદ બાવજીભા જાડેજાનું ભણસાલી કોમની ટોળીએ ખૂન કર્યું. ત્યાર પછી સામે બદલો લેવાની કાર્યવાહી તો થવાની એમાં ગામ સળગ્યું અને સામે કેટલાક ભણશાળીની પણ હત્યાઓ થઈ. આપણે જાણીએ છીએ કે આ બધું ખોટું જ થયું છે. ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલી આ નખત્રાણા તાલુકાના બિબર ગામનો. એમનું મોસાળ રાજસ્થાનમાં છે. જાડેજા દરબારો અને કચ્છી ભણસાલી વચ્ચેની આ જૂની પણ બહુ જૂની પણ ના કહેવાય તેવી દુશ્મની સંજય લીલા ભણશાલીનાં દિમાગમાં રમતી તો હોય જ.

ભાનુશાળી કહો કે ભણસાલી કહો હિંદુઓમાં વૈશ્યની કેટેગરીમાં આવતા મૂળ હાલ પાકિસ્તાનમાં ગણાતા સિંધના બલુચિસ્તાન બાજુથી કચ્છમાં આવેલા. કોઈ ચોક્કસ ઇતિહાસ મળતો નથી પણ સિકંદર ભારત પર ચડી આવ્યો તે સમયે સલામતી ખાતર અંતરિયાળ ગણાતા કચ્છમાં આવીને વસ્યા હશે. ઘણા મુઘલ કાળમાં કચ્છમાં વસ્યા હશે તેવું પણ કહે છે. સિંધ તે સમયે બૉર્ડર પર ગણાય એટલે બૉર્ડર પર વસવાટ આમેય અઘરો એટલે સલામતી ખાતર કચ્છમાં આવી ગયા હશે. વસવાટના આધારે કચ્છમાં વસેલા કચ્છી ભાનુશાળી અને હાલાર(જામનગર) વસેલા હાલારી ભાનુશાળી કહેવાતા હોય છે. કચ્છમાં સેંકડો વર્ષોથી જાડેજાઓનું રાજ હતું. એમ જામનગરમાં પણ જાડેજા વંશ રાજ કરતો. કચ્છમાંથી જામનગર બોલાવી ભાનુશાળીઓને વસાવનારા પણ જામનગરના જાડેજા રાજવીઓ જ હતા. જામનગર અને કચ્છના જાડેજા રાજાઓએ આ કોમને પાળી પોષી વસવાટ કરવાની સગવડો આપી તે જાડેજા દરબારો માટે આ રીતે ખરાબ ચિત્રાંકન કરી દુશ્મની કાઢવી અને તે પણ ફક્ત એક ગામના બે કોમ વચ્ચેના વિખવાદને લઈને? કેટલું યોગ્ય છે?

પણ આ સર્જક બહુ ચાલાક છે. રામલીલા મુવી બનાવ્યું એમાં મુખ્ય અભિનેત્રી જાડેજા ફૅમિલીની બતાવી પણ મુખ્ય અભિનેતા ભણસાળી કોમનો બતાવે એટલો મૂરખ તે છે નહિ. આ લવ સ્ટોરીનું સ્ત્રી પાત્ર જાડેજા પણ પુરુષ પાત્ર રબારી કોમનું બતાવી દીધું. વળી બે કોમ વચ્ચે ૫૦૦ વર્ષ જૂની દુશ્મની બતાવી દીધી. દરબારો અને રબારીઓ વચ્ચે દુશ્મનીનો કોઈ ઇતિહાસ છે જ નહિ. ઉલટાના રબારીઓ તો રાજપૂતોની બેન દીકરીઓના વળાવિયા તરીકે એમનું રક્ષણ કરવાનું કામ કરતા અને જરૂર પડે રાજપૂતોની દીકરીઓ માટે જીવ પણ આપી દેતા. તો સામે પક્ષે ગોપાલક રબારીઓની ગાયોનું રક્ષણ કરવા આ રજપૂતોએ પોતાના માથા આપ્યા છે. જે બે કોમ હજારો વર્ષોથી સંપીને રહી હોય તેના વચ્ચે દુશ્મની હોય તેવો ઇતિહાસ બતાવી દેવો તે પણ ફિક્શનના બહાને કેટલો વાજબી છે? હજુ તો ફિલ્મ રજૂ થઈ નથી ત્યાં રાજપૂત અને રબારી સમાજ એકબીજા વડે થ્રેટ અનુભવવા લાગ્યો છે. જે સમાજો એકબીજાના કદી દુશ્મન હતા નહિ તે હવે દુશ્મન બનશે. એની શરૂઆત થઈ ચૂકી છે.

એક મિત્ર સાવજરાજ સોઢા જણાવે છે, “રબારી અને જાડેજા રાજપૂત સમાજ વચ્ચે જે આજસુધી સંબંધો રહ્યાં છે એવાં કોઈ પણ સમાજો વચ્ચે સૌહાર્દ અને આત્મીય સંબંધો નહી હોય. પણ રામલીલાની ચર્ચા પછી એ બંને સમાજ કટ્ટર દુશ્મન જેવાં બની ગયાં છે.. આપ તે સમયની ફેસબુક પરની રબારીઓ અને રાજપૂતોની ચર્ચા જોજો ગાળો સિવાય ભાગ્યે કાંઈ હશે.. આ સમાજોમાં ફેલાયેલી કડવાશ માટે જવાબદાર કોણ? માત્ર રામલીલા. ભુજ રામલીલાનાં વિરોધ વખતે બંને સમાજ વચ્ચે ઝગડો થયો આઠેક જણાં ઘાયલ થયાં જવાબદાર કોણ…??? રામલીલા.” જે ફિલમ હજુ આ લખાય છે ત્યાં સુધી રજૂ થઈ નથી, રજૂ થશે પછી શું થશે?

લખેલું વંચાય એવું કહેવાય છે તેમ જોએલું મનાય તે પણ એટલું જ સાચું છે. ભલે આપણે લાખવાર કહીએ કે કાલ્પનિક સ્ટોરી છે પણ દ્રશ્યશ્રાવ્ય માધ્યમ બહુ પાવરફુલ હોય છે. એ સીધું તમારા બ્રેનમાં ઊતરી જશે. તમારા ન્યુરૉન્સને જકડી લેશે. આપણે જાણીએ છીએ કે આ પડદા પર દોડતા ચિત્રો છે છતાં ફિલ્મના કરુણ દ્ગશ્યો જોતા જોતા આપણે રડતા હોઈએ છીએ. હોરર મુવી જોઇને હાર્ટઍટેક આવ્યાનાં અને મરી ગયાના દાખલા પણ નોંધાયેલા જ છે.

આ વાર્તા કાલ્પનિક છે અને એમાં આવેલા પાત્રો સાથે કોઈ સામ્યતા દેખાય તો અકસ્માત સમજવો તેવું કેટલા સમજતા હશે? આવી સૂચનાઓ ભૂલી જવાતી હોય છે. આવી સૂચનાઓ ભવિષ્યમાં આવનારા વિવાદો ટાળવા પૂરતી જ લખાતી હોય છે. ફિલ્મોના બનાવટી પાત્રો સાથે આત્મીયતા બંધાઈ જતી હોય છે. એક સમભાવ કેળવાતો હોય છે. હું કોઈ ગુંડાને મારી શકતો ના હોઉં પણ બચ્ચનને મારતો જોઈ મને અચેતનરૂપે હું મારતો હોઉં તેવું લાગે. હું બચ્ચન સાથે ઇન્વોલ્વ થઈ જતો હોઉં. આમ મારી ગુંડાને મારવાની ઇચ્છાની પાદપૂર્તિ થઈ જાય. ફિલમ જોઈને એક તૃપ્તિ સાથે બહાર નીકળીએ ત્યારે હેપી હેપી થઈને નીકળીએ કે મજા આવી ગઈ. પણ શેની મજા આવી તે ભલે કૉન્શિયસલી ના સમજાય પણ મજા આવી ગઈ તેટલું તો સમજાઈ જાય છે.

ફિલ્મો જોઈ કોઈ હિંસા કરતું નથી. ક્યાંક કોઈ બનાવ બન્યો હશે બાકી મોટાભાગે આપણી અંદર રહેલી હિંસાનું હિંસક ફિલ્મો જોઈ કૅથાર્સિસ થઈ જતું હોય છે. ફિલ્મોના દુઃખી પાત્રો સાથેનાં દુઃખો સાથે આપણા દુઃખોની સામ્યતા કેળવાઈ જતી હોય છે. હીરોના કરુણ મૃત્યુ સાથેનો અંત જોઈ રડતા રડતા ભલે બહાર આવીએ પણ એક અજાણ્યો ના સમજાતો તૃપ્તિનો ઓડકાર ખવાઈ જતો હોય છે. કારણ દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક કહેવાતા દુઃખો અને કરુણ અંત સમાયેલા જ હોય છે. ચાલો આપણે એકલાં દુઃખી નથી બીજા પણ આપણા જેવા છે જ. મૃત્યુ પામતા હીરો પ્રત્યે આપણી અંદર રહેલી કરુણા વહેવા લાગતી હોય છે. આપણે ભૂલી જઈએ છીએ કે આ હીરો તો હજુ જીવે છે ખાલી પડદા પર મર્યો છે. ‘આનંદ’ આજે પણ હીટ છે. રાજેશખન્નાનું ‘બાબુ મોશાય’ આજે પણ કાનમાં એટલું જ ગુંજે છે.

કાલ્પનિક ફિલ્મોની પડતી મનોવૈજ્ઞાનિક અસરોની અવગણના તમે કરી શકો નહિ. આ ભારતીય સમાજ છે, અહીં એક કાલ્પનિક ફિલ્મ બનાવી સંતોષી માતા ઉભા કરી શકાય છે. આ ભારતીય સમાજ છે જ્યાં કાલ્પનિક કવિતા લખી ‘રાધા’ ઊભી કરી શકાય છે અને તેની પાછળ આખા દેશને ગાંડો કરી શકાય છે. મેં તો ત્રણ વર્ષ પહેલા લખેલું કે રાધા મહાભારત, હરિવંશ પુરાણ કે ભાગવતમાં ક્યાંય નથી. ઑથેન્ટિક ગણવામાં નહિ આવતા એવા બ્રહ્મવૈવર્ત પુરાણમાં રાધા કૃષ્ણની મામી છે. છતાં એક જયદેવ કાલ્પનિક રાધાનું સર્જન કરી આખા દેશને પાગલ બનાવી શકે છે. હવે જો સદીઓ પહેલા લખેલી એક કવિતા પાછળ જો દેશ ગાંડો બની શકતો હોય તો આવી દ્રશ્યશ્રાવ્ય ફિલ્મ બનાવી શું ના કરી શકાય?

ભણસાળી અને દરબારો વચ્ચેની દુશ્મની તે પણ એક ગામ પૂરતી છે તેને મિટાવવાનાં પ્રયત્નો  કરવાને બદલે આ સર્જકે આખા કચ્છ અને સૌરાષ્ટ્રના દરબારો અને રબારીઓ વચ્ચે દુશ્મની ઊભી કરી દેવાનો હીન પ્રયત્ન કર્યો છે. એની આ હીનતા રબારીઓ અને દરબારોએ ઓળખી લેવી જોઈએ અને અંદર અંદર લડી એની આ હલકટ ચાલમાં આવી જવું ના જોઈએ. આ દેશમાં એક ગાય વાછરડાનું ચૂંટણી પ્રતીક મૂકીને લોકોને ઈમોશનલી છેતરી ચૂંટણી જીતી શકાય છે. રામના રથ કાઢી લોકોની ધાર્મિક ભાવનાઓનો વેપલો રાજકીય હેતુ માટે કરી શકાય છે. લોકોએ એમના ન્યુરૉન્સ વાપરવા જોઈએ.

આ દેશમાં જ્ઞાતિવાદ સજ્જડ છે. જ્ઞાતિ એક સમૂહ છે અને મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છે તે હકીકત ભૂલવી ના જોઈએ. જ્ઞાતિવાદના પ્રકાર બદલાશે પણ સમુહવાદ તો જીવતો રહેવાનો જ છે. પણ તમે એટલું કરી શકો કે એક જ્ઞાતિને બીજી જ્ઞાતિ કરતા ઊંચી કે નીચી ના માનો. વ્યક્તિગત કે નાના સામૂહિક સ્વાર્થને જતા કરી મોટા સામૂહિક સ્વાર્થમાં બદલી પરમાર્થ જેવું નામ આપી શકો. વ્યક્તિગત કે નાની નાની સામૂહિક ભક્તિ સાથે ક્રમશઃ મોટી ને મોટી સામૂહિક ભક્તિ વધારી એને રાષ્ટ્રપ્રેમ તરફ વાળી શકો છો. છેવટે માનવતાવાદ તરફ પણ આજ રીતે જઈ શકાય. કવિશ્રી ઉમાશંકર જોશી પાછલી જીંદગીમાં એમને વિશ્વમાનવ તરીકે ઓળખાવતા હતા. કેટલી ઊંચી સંવેદનશીલતા કહેવાય?

આપણે ત્યાં કોમવાદ સજ્જડ છે માટે રાષ્ટ્રવાદ કમજોર છે. માણસ નાના નાના સમૂહ બનાવીને તો રહેવાનો જ છે પણ વર્ણવ્યવસ્થાના સજ્જડ ધારાધોરણોની જરૂર નહોતી. અહીં દરેક કોમની ચોક્કસ ડેફીનેશન છે, કે વાણિયા એટલે આવા, દરબાર એટલે આમ, બ્રાહ્મણ એટલે આવા, પટેલ એટલે આવા એમાય કડવા એટલે આવા અને લેઉંઆ એટલે આવા. હવે પટેલને તમે મખ્ખીચૂસ કહી શકો ખરા? આ ડેફીનેશન બહાર તમે બતાવો એટલે જે તે સમાજ તરત થ્રેટ અનુભવી વિરોધ કરવાનો જ છે. જાડેજાની દીકરીને અશ્લીલ હરકતો કરતી કે ભાષા બોલતી બતાવો એટલે તરત તે સમાજ થ્રેટ અનુભવી વિરોધ કરવાનો.

સિંધના સુમરા(મુસ્લિમ રાજવી)એ તેના તાબાના કોઈ ગામની મુસ્લિમ દીકરીઓની લાજ લૂટવા માટે બંદી બનાવેલી ત્યારે તે બધી ગમે તેમ નાસી જઈને કચ્છમાં આવી અને ત્યારે અબડાસાના જામ અબડાજી જાડેજા એ તેમને આશરો આપીને યુદ્ધ કરેલ અને વિજય મળેલ અને તે દિવસ અષાઢી બીજ હતી અને તે દીકરીઓ ને મુક્ત કરાવીને નવું જીવન આપવા બદલ તે દિવસને કચ્છી નવું વર્ષ તરીકે ઊજવાય છે. ભણશાળીઓને કચ્છમાં અને જામનગરમાં સુખરૂપ વસાવનારા આ જાડેજા રાજાઓ જ હતા.

દરબારોએ એમની રીતે આ ફિલ્મનો વિરોધ કર્યો. શક્તિ પ્રદર્શન થયું, તોડફોડ થઈ, જાહેર હિતની અરજી થઈ. પણ સામે સંજય લીલા કપિલ સિબ્બલ અને એના જેવા બીજા 001[1]મહારથીઓને લઈને આવી ગયો. કોર્ટે ચુકાદો આપ્યો કે જાડેજા અને રબારી શબ્દો ફિલ્મમાંથી કાઢી નાખવા. એડીટીંગ કરીને ફિલ્મ રજૂ કરવી. પણ એનો કોઈ અર્થ નથી. રબારી શબ્દ કાઢી નાખશે પણ રબારી ડ્રેસકોડ કઈ રીતે બદલશે? દરબારનો જે ડ્રેસકોડ વપરાયો હશે તે ક્યાંથી કાઢી નાખશે? સદીઓથી રબારીને ઓળખવા અહીં નામની ક્યાં જરૂર હતી? કોર્ટે ખરેખર આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા જેવો હતો. ગુજરાત પૂરતો તો મૂકી જ શકાય. સામસામે થોડા માણસો મરે તેની કોર્ટ કદાચ રાહ જોતી હશે.

 બસ અહીં જ દરબારો અને રબારીઓએ સંયમ રાખી અહિંસક વિરોધ કરી સંજય લીલા ભણશાલીની બે કોમ જે કદી એકબીજા સાથે લડી જ નથી તેને લડાવી મારવાની ચાલમાં આવી ગયા વગર સંપીને રહેવું જોઈએ.

રાઓલ ભૂપેન્દ્રસિંહ રતનસિંહ,

એડિસન, ન્યુ જર્સી.

 ૪ નવેમ્બર ૨૦૧૩.

યાવતચંદ્રદિવાકરો રાજ કોઈના તપતાં નથી

યાવતચંદ્રદિવાકરો રાજ કોઈના તપતાં નથી

યાવતચંદ્રદિવાકરો(સૂરજચંદ્ર તપે ત્યાં સુધી) રાજ કોઈના ટકતા નથી, ટક્યા નથી અને ટકવાનાં પણ નથી. જગત સતત પરિવર્તનશીલ છે. ધીમી ગતિનું મક્કમ પરિવર્તન આપણે સ્વીકારી શકતા નથી પછી ઇતિહાસને વખોડતા હોઈએ છીએ કે પહેલા આણે આમ કર્યું હોત તો આજે આમ નાં હોત. એક સમયે યુરોપમાં રોમન સામ્રાજ્યનો સૂરજ તપતો હતો છેક ઈજીપ્ત સુધી રોમન સામ્રાજ્યનો ડંકો વાગતો હતો. મોટા નગર વસાવવાનું એમણે શરૂ કરેલું એમ કહેવાય છે. એક સમયે આર્યાવર્ત પર આર્યોનો પચ્છમ લહેરાતો હતો. આર્યાવર્ત કોઈ નાનું નહોતું. ભારત અફઘાનિસ્તાન અને ઈરાન સુધી આર્યોનો ધ્વજ ફરકતો હતો. યુધિષ્ઠિરનાં બે બાહોશ ભાઈઓ ભીમ અને અર્જુન ભારતના સીમાડા બહાર એમનો ધ્વજ ફરકાવી ચૂક્યા હતા, ત્યાં પશ્ચિમ ભારતમાં કૃષ્ણ ડંકો વગાડી રહ્યા હતા. કૃષ્ણની દ્વારકાનો વેપાર રોમ સાથે પણ ચાલતો. પુરાતત્વ ખાતાના ડૉ રાવ ડૂબેલી દ્વારકાની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે એમને રોમન સ્ટાઇલનાં દારુ ભરવાના પીપ મળ્યા હતા.

ભગવાન કહેવાતા કૃષ્ણ લાચારીસહિત યાદવોને લડતા અને એમનો નાશ થતા જોઈ જ રહ્યા હતા. કૃષ્ણે આમ કર્યું હોત કે તેમ કર્યું હોત તો યાદવોનો નાશ ના થયો હોત એવું આજે આપણે કહેવું હોય કહી શકીએ છીએ. આજનું મીડિયા કહી શકે છે યાદવકુલનાં નાશ પાછળ વિદેશી તત્વોનો હાથ છે, કે ભાઈ રોમન બનાવટનાં દારૂ ભરવાના પીપ જો મળ્યા છે અને દારૂ પી છાકટા બની યાદવો અંદરોઅંદર લડીને મર્યા. પણ આ બધું કૃષ્ણ જાતે જોઈ રહ્યા હતા. કૃષ્ણે આમ કર્યું હોત કે તેમ કર્યું હોત તો મહાભારતના યુદ્ધમાં થયેલો સર્વનાશ પણ રોકાઈ શક્યો હોત કે નહિ? કૃષ્ણ ચોક્કસ રોકી શક્યા હોત એવું વિચારી જૈનો કૃષ્ણને દોષ દેતા જ હોય છે અને એટલે એમને સાતમાં નરકમાં નાખેલા છે. હું અમસ્તો નરકમાં ફરવા થોડો ગયો હોઈશ? કૃષ્ણનો ઈન્ટરવ્યું લેવા ગયેલો.

untitled-=-=કૃષ્ણ મહાભારત રોકી શક્યા હોત તેવું આજે જૈનો વિચારે છે અદ્દલ તે જ રીતે આજે આપણે પૃથ્વીરાજ ચૌહાણ વિષે વિચારીએ છીએ કે પૃથ્વીરાજ હાર્યો નાં હોત કે એણે ઘોરીને ૧૬ વાર માફ ના કર્યો હોત તો આજે ઇતિહાસ જુદો હોત. મુસલમાનો ભારતમાં ના હોત વગેરે વગેરે. ચાલો પૃથ્વીરાજ જીતી ગયો હોત તો પણ ઇતિહાસ આજે છે તે જ હોત. પહેલું તો ઘોરી ૧૬ વાર ચડાઈ કરવા આવ્યો જ નહોતો. પૃથ્વીરાજ અને ઘોરી વચ્ચે બે જ વાર લડાઈ થયેલી. પહેલીવાર તે ઓછા સૈન્યબળ સાથે આવ્યો હશે કે જે હોય તે, પૃથ્વીરાજ સામે ટક્યો નહિ અને ભાગી ગયેલો. બીજીવાર પૂરતી તૈયારી કરીને આવ્યો હશે તે પૃથ્વીરાજ હાર્યો એને પકડીને તે લઈ ગયો હતો. હારેલા પૃથ્વીરાજને ગ્લોરીફાઈ કરવા કવિઓએ બનાવટી વાર્તાઓ રચી કાઢી કે ૧૬ વાર માફ કર્યો અને અંધ બનાવેલા પૃથ્વીરાજે શબ્દવેધી બાણવિદ્યા દ્વારા ઘોરીને હણી નાખ્યો તેનું ઐતિહાસિક પ્રમાણ મળતું નથી. પૃથ્વીરાજનાં મર્યા પછી ઘણા વર્ષો બાદ ઘોરી મરાયો છે તેવું ઇતિહાસ કહે છે.

ચાલો પૃથ્વીરાજ જીતો ગયો ને ઘોરી ભાગી ગયો તે સમય પૂરતા મુસલમાનો બહાર રોકાઈ ગયા પણ પછી? ઘોરી એ મરી ગયો પણ પછી? ઘોરીની જગ્યાએ બેઠેલો બીજો કોઈ ચડી નાં આવ્યો હોત તેની ગેરંટી હતી ખરી? અને એની સામે પૃથ્વીરાજની જગ્યાએ બેઠેલો એનો પુત્ર જીત્યો હોત તેની કોઈ ગેરંટી હતી ખરી? પૃથ્વીરાજ જીત્યો હોત પણ એની જગ્યાએ બેઠેલો એનો કોઈ વંશજ પાછળથી હાર્યો હોત તો આજે આપણે પૃથ્વીરાજને બદલે એના વંશજ ને ગાળો દેત.

આપણે તો ગાળ દેવા આજે કોઈ પાત્ર જ જોઈએ ને?

સિકંદર એકવાર નહિ અવારનવાર ચડી આવ્યો છે. પણ સમ્રાટ ચંદ્રગુપ્તના હાથીઓનું લશ્કર જોઈ ભાગવું પડતું હતું. ચંદ્રગુપ્તના યુદ્ધ કૌશલ આગળ એને પાછું ફરવું પડતું હતું.

જો ચંદ્રગુપ્ત હાર્યો હોત તો આજે આપણે ચંદ્રગુપ્તને ચોપડાવતા હોત. imagesCAI4GAG2

સિકંદર અને ચંદ્રગુપ્ત તો મહમ્મદ અને ઈસુના જન્મ પહેલાના. એક સમયે દુનિયાના તમામ રસ્તા રોમ તરફ જતા હતા. ઈજીપ્ત અને ઇઝરાયલ ઉપર પણ રોમનો રાજ કરતા હતા. ઈસુને ક્રોસ પર લટકાવનાર યહૂદી નહિ રોમન હતા. જોકે યહૂદીના કહેવાથી લટકાવેલા તે વાત જુદી છે. પાછળથી આજ રોમન રાજાઓએ જીસસને અપનાવ્યા અને આખા યુરોપમાં જીસસ જીસસ થઈ ગયું. રોમમાં રાજાઓ હતા તો સેનેટ પણ હતું, પ્રજાના પ્રતિનિધિઓ પણ રાજકાજમાં ભાગ લેતા. પણ જર્મેનિક ટ્રાઈબ ગણાતા બાર્બેરિયન ટોળા રોમ પર અવારનવાર હુમલા કરતા. Frankish Tribe બહુ જોરાવર હતી તેણે રોમના અન્ડરમાં રહેલા વેસ્ટર્ન યુરોપ પર કબજો જમાવ્યો અને કાલક્રમે એકવારના જંગલી બાર્બેરિયન આજે સુસંસ્કૃત કલાપ્રેમી ફ્રાન્સના ફ્રેંચ તરીકે ઓળખાય છે. Saxon આવી જ એક Germanic Tribe હતી તે પણ રોમનોની પત્તર ઝીંકતા હતા. તે ઇંગ્લૅન્ડ અને હોલૅન્ડ બાજુ વસી ગયા. લોમ્બાર્ડ ઇટાલીમાં રહી ગયા. Hun-Nomadic વોલ્ગા નદી બાજુથી તે યુરોપ સુધી અને છેક ભારત સુધી ઘોડા પર ધરતી ધમરોળતા. Yuezhi Tribe કહેવાતા કુશાન તો ભારતમાં આવી ભારતીય જ બની ગયેલા. એક સમયનું મહાન રોમન સામ્રાજ્ય આજે યુરોપના નાના દેશોરૂપી ટુકડાઓમાં વહેંચાઈ ગયું છે.

સાઉથઇસ્ટ યુરોપ, વેસ્ટર્ન એશિયા અને નૉર્થ આફ્રિકા સહિત પુરા બાવન લાખ ચોરસ કિલોમીટર ઉપર પૂરી છ સદીઓ રાજ કરતા ગ્રેટ Ottoman સામ્રાજ્યનાં સુલતાનો આગળ ભારતના મહાન મુઘલોના ચણામમરા એ નાં આવે. ભારતમાં મુસલમાનો પહેલા પણ જંગલી કહેવાતા ટોળા ચડી આવતા જ હતા. પણ તે સમયના સમ્રાટો રોકી રાખવા સફળ બની જતા. ગુપ્ત સમ્રાટોએ ૭૦૦ વર્ષ સીમાડા સાચવ્યા હતા. શક, હૂણ અને કુષાણ જેવા ટોળા પાસે પોતાની કોઈ ચોક્કસ ઘડેલી સંસ્કૃતિ કે વિચારધારા કે જીવન પદ્ધતિ કે ધર્મ નહિ હોય તે ભારતમાં આવવા સફળ થયા પછી અહીંની સંસ્કૃતિમાં એવા સમાઈ ગયા કે આજે ખબર જ નાં પડે. સિકંદર પાસે પણ કોઈ ધર્મ નહતો, જીસસ ત્યારે જન્મ્યા નહોતા.

પણ ત્યાર પછી ભારત પર હુમલા કરતા ટોળા પાસે મહંમદે આપેલી એક ચોક્કસ વિચારધારા હતી, સંસ્કૃતિ હતી, ધર્મ હતો. તેઓ આપણામાં ભળવા નહિ આપણને તેઓમાં ભળી જવા માટેના આદેશ લઈને આવતા હતા. ગઝની નાં આવ્યો હોત તો ઘોરી પાછળ આવવાનો જ હતો. ઘોરી નાં આવ્યો હોત તો પાછળ ખીલજી રેડી જ હતો. ખીલજી હાર્યો હોત તો પછી લોદી સાથે લડવાનું જ હતું. લોદી પછી મુઘલ તો તૈયાર જ હતો. ગ્રેટ ઓટોમન સામ્રાજ્યનું પ્રેરક બળ કોઈને ને કોઈને ભારત તરફ ધકેલ્યા જ કરવાનું હતું. મુઘલો પણ ત્રણસો વર્ષથી વધુ ક્યાં ટક્યા? તેની પાછળ જેનો સૂરજ કદી આથમે નહિ તે બ્રિટીશ સામ્રાજ્ય આવ્યું જ ને? શું મુઘલો પાસે યુદ્ધ કૌશલ્ય નહોતું? રમખાણો થાય ત્યારે ખાલી પોલીસની સાયરન વગાડતી જીપ આવે તો દોટ મૂકી ઘરમાં પેસી જતા બાહોશ જાણકાર પંડિત મિત્રો રાજપૂતોએ યુદ્ધ કૌશલ્ય ગુમાવ્યું એવું કહેતા હોય છે. તો શું બ્રીટીશરો પાસે ઓછું યુદ્ધ કૌશલ્ય હતું? કેમ ધીમે ધીમે એનો સૂરજ ફક્ત ઈંગ્લેન્ડ પૂરતો રહી ગયો?

મૂળ તો ઑથેન્ટિક બનાવવા ભગવાનના મુખે મુકાયેલ, ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણોનું સર્જન કર્યું છે; તેનો કર્તા હું છું છતાં મને તું અકર્તા અને અવિકારી જાણ ||૪.૧૩|| શ્લોકના સ્વાર્થ માટે સમાજના ઉપલા વર્ગ દ્વારા કરાયેલા ગલત અર્થ અને અમલ સાથે ભારતીય સમાજની બ્લ્યુ પ્રિન્ટ બગડવાની શરૂઆત થઈ ચૂકી હતી. સમાજનો ફક્ત ચોથો ભાગ એક જ વર્ગ લડવા જાય એટલે તે વર્ગ ધીમે ધીમે સંખ્યામાં ઓછો થવાનો. પહેલા ૧૦૦માંથી ચોથો ભાગ ૨૫ લડવા જતા હોય પણ કાલક્રમે ૧૦૦ માંથી લડે તેવા બેત્રણ જ બચ્યા હોય. ૫૦૦૦ વર્ષથી એક જ વર્ગ લડતો હતો બાકીના ઉભા ઉભા જોયા કરતા. શૂદ્રને તો સેવા જ કરવાની હતી. જે રાજ કરે તે અમારે તો બાકીના ત્રણ વર્ગના કચરા જ ઉઠાવવાનાં છે ને?

કોઈ પણ નવા પ્રયોગના સારા અને ખોટા પરિણામો હોય છે. પ્રૉબ્લેમ એ થયો કે દરેકને પોતપોતાનું કામ વહેંચી દીધું. એટલે એક બીજાનું કામ કોઈ કરવા તૈયાર જ ના થાય. ભાઈ તું ક્ષત્રિય લડવાનું કામ, રક્ષા કરવાનું કામ ફક્ત તારું અમારું નહિ. બ્રાહ્મણ કહેશે હું તો વિદ્યા આપું લડવાનું કામ મારું નહિ. વૈશ્ય કહેશે અમે તો વાણિયા સપનામાં પણ તલવાર જોઈ ના હોય. અમે તો કીડી મરી ના જાય એનું પણ ધ્યાન રાખીએ અમે શું લડવાના હતા. તમતમારે લડો, અહિંસા પરમ ધર્મ. હવે કાયમ લડી લડી ને કાયમ યુદ્ધોમાં જઈ જઈ ને ક્ષત્રિયો ઓછા થવાના. લડવામાં જીવ પણ ખોવા પડે. એ કઈ ખો ખો રમવાનું તો છે નહિ. વસ્તી ઘટતી ગઈ, એટલે છૂટ આપી વધારે સ્ત્રીઓ રાખો, એક સાથે વધારે સ્ત્રીઓ સાથે લગ્ન કરો અને વસ્તી વધારો, પણ અમે તો યુદ્ધમાં ના જઈએ. દરેકની લીમીટ હોય. એક બાળક પેદા કરતા વર્ષ નીકળી જાય અને મોટું કરી યુદ્ધમાં જવા તૈયાર કરતા ૨૦ વરસ નીકળી જાય એટલામાં તો હજારો કપાઈ માર્યા હોય. પછી દસ બૈરાં રાખો તો પણ કઈ રીતે પહોચી શકાય.

બીજું વર્ણ વ્યવસ્થા ને લીધે કોઈ પણ બે વર્ણો વચ્ચે લોહીના સંબંધ જ ના રહ્યા, એના લીધે લાગણીજ ના રહી. અને એને લીધે કોઈ સંપ પણ ના રહ્યો. હવે આ રજપૂતો બહાદુર ખુબજ હતા પણ સંખ્યા ઓછી પડતી. એટલે જ્યારે લાગે કે હવે હારવાના જ છીએ તો ભાગતા નહિ. છુપાતા નહિ. પણ કેસરિયા કરતા. મતલબ કે દુશ્મનના સૈન્યમાં મરવા માટે કૂદી પડતા. એક તો હોય સંખ્યામાં બિલકુલ ઓછા, બધા કપાઈ મરતા, કેસરિયા એટલે સુસાઈડ, સામૂહિક આપઘાત જ કહેવાય. આ કોઈ જેવી તેવી બહાદુરી ના હતી. અને આ બાજુ એમની સ્ત્રીઓ એક મોટા કૂવામાં આગ પેટાવી એક પછી એક કૂદી પડતી, આને સામૂહિક સુસાઈડ કહેવાય. હવે સ્ત્રીઓ પણ ઓછી થતી જાય અને પુરુષો પણ, અને બીજા કોઈ લડવા નીકળે નહિ. એટલે હિંદુ ધર્મે રાજપૂતો ને મોટા ભા તો બનાવ્યા સાથે સાથે કપાઈ મરવાનો પરવાનો, દસ્તાવેજ પણ લખી આપ્યો. અને બીજા વર્ણના લોકોને લાગણી પણ ન થાય મરો  એ જ તો તમારું કામ છે. કેમ કે લોહીનો કોઈ સંબંધ જ ના હોય એટલે કોણ રડે? અતિશય સંખ્યા આગળ બહાદુરી કોઈ કામ ના લાગે.

આજે સવાલ થાય છે કે ગઝની આવ્યો ત્યારે ભીમદેવ કેમ લડ્યો નહિ ને કચ્છમાં ભાગી ગયો? પણ સંખ્યામાં ગઝની કરતા એટલો ઓછો હતો કે બધા મરવાનાં જ હતા. હમીરજી ગઝની સામે લડવા ગયા ત્યારે ૩૦૦-૪૦૦ રાજપૂતોને લઈને ગયેલા. બધા સાફ થઈ ગયા. આપણે એમની બહાદુરીના ગુણગાન ગાઈએ છીએ પણ એમનો વંશ તો ખલાસ થઈ ગયો. સામે ભીમદેવે ભાગી જઈ વંશ બચાવી ફરી રાજ કર્યું ને કર્ણદેવ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા રાજાઓ પણ આપ્યા. શાક સમારતા ચપ્પુ વાગી જાય તો રાડારાડ કરી નાખતી અને ડૉક્ટર ઇન્જેક્શન આપે તો આડું જોતી અને કોઈને લોહી નીકળે તો જોઇને ચક્કર ખાઈ પડી જતી પ્રજા આજે દુશ્મનોના માથા વધેરતા ઊડતી લોહીની પિચકારીઓ વડે રંગાઈ જતા રજપૂતો વિષે ખણખોદ કરતી જોઇને હસવું આવે છે. અંગ્રેજો આવ્યા પછી રજપૂતો ને લડવાનું રહ્યું નહિ, એટલે એશોઆરામમાં પડી ગયા એ વાત જુદી છે.

હું નાનો હતો ઈડર બાજુ અમારા સગાઓને ત્યાં જતો ત્યાં આખા ગામમાં રાજપૂતોના બેચાર ઘર જ હોય બાકી આખુ ગામ ઇતર કોમથી ભરેલું હોય. આઝાદી પછી ગણો કે અંગ્રેજો આવ્યા પછી ગણો રાજપૂતોની વસ્તી ધીમે ધીમે વધી હશે છતાં આજે પણ તમારે માર્ક કરવું હોય તો કરજો કોઈ પણ ગામમાં બીજી બધી કોમ કરતા સંખ્યામાં રાજપૂતોની વસ્તી ઓછી જ હશે.

ચતુર્વર્ણ મયા સૃષ્ટમનાં ગલત અર્થ અને અમલ જેવા બીજા અનેક એવા મૂલ્યો હતા જેણે ભારતીય સમાજની આખેઆખી બ્લ્યુ પ્રિન્ટ બગાડવાનું કામ કરેલું છે તેના પરિણામે આક્રમણકારો આવ્યા ને મહાન ભારત એક દસ હજાર વર્ષ જૂની સંસ્કૃતિ ધ્વસ્ત થઈ ગઈ, ઘૂંટણે પડી ગઈ. એક થાળીમાં ખાનારા સામે જુદી જુદી થાળીઓમાં ખાનારા હારી ગયા.

યાવતચંદ્રદિવાકરો રાજ કોઈના તપ્યા નથી તપવાના પણ નથી. આર્યન હોય, પર્સિયન હોય કે રોમન, ઓટોમન હોય કે બ્રિટન, એક દિવસ સૂરજ આથમવાનો જ છે અને ક્યાંક બીજે ઊગવાનો પણ એટલો જ છે.

પૃથ્વીરાજ હાર્યો નાં હોત તો એની પછી આવેલો બીજો કોઈ હાર્યો હોત.