Category Archives: જ્ઞાન વિજ્ઞાન

હાઈસ્કૂલ કે દિન ભૂલા ના દેના…Hard Truths About Human nature.

હાઈસ્કૂલ કે દિન ભૂલા ના દેના…Hard Truths About Human nature.

સ્કૂલ કે હાઈસ્કૂલમાં પસાર કરેલા દિવસો આપણે ક્યારેય ભૂલી શકતા નથી. કૉલેજમાં પસાર કરેલા દિવસો પણ ભુલાતા નથી. કદાચ કૉલેજમાં પસાર કરેલા દિવસો ભૂલી જવાય, જો કે તદ્દન ભૂલી જવા તો નામુમકીન છે પણ હાઈસ્કૂલ તો આપણાં બ્રેઇનમા વસેલી હોય છે. સ્કૂલમાં ભણતા હોઈએ તે દિવસોમાં આપણું બ્રેઈન પુખ્ત હોતું નથી. એમાં કોઈ સખત ન્યુરલ વાયરિંગ થયેલું હોતું નથી. સામાજિક સંબંધો ઘડવાની હજુ શરૂઆત છે. કિશોરાવસ્થામાં વધી રહેલો માનવ છોડ, સમાજના વૃક્ષને વળગીને ઉપર ચઢવાનું હજુ શીખતો હોય છે. ક્યાં ટેકો લેવો અને ક્યાં છોડી દઈને આગળ વધવાનું હજુ શીખતો હોય છે..

મેમલ સ્ટેટસ માટે પોતાના ગ્રૂપ, ટ્રૂપ પેક કે હર્ડમાં હંમેશા હરીફાઈમાં ઊતરતા હોય છે. કારણ એમ કરવું રીપ્રોડક્ટીવ સક્સેસને પ્રમોટ કરતું હોય છે. હ્યુમન પણ એમ જ કરતા હોય છે, અને કોઈ બાહ્યાડંબર કે સભ્યતા વગર એડલેસન્ટ (adolescent) પણ એમજ કરતા હોય છે. સ્કૂલમાં જબરાં છોકરા ધાક જમાવીને પોતાનું ગ્રૂપ ઊભું કરી લેતા હોય છે. સ્કૂલનાં અનુભવો કાયમ આપણી સાથે રહેતા હોય છે. તરુણાવસ્થાનાં વર્ષો એક મેન્ટલ મોડલ બાંધતા હોય છે કે દુનિયા કઈ રીતે કામ કરે છે-how the world works. કદાચ આપણે આપણાં મનમાં રહેલી તરુણાવસ્થાથી એક અંતર ભલે રાખવા માંગતા હોઈએ પણ આપણાં બનાવેલા ન્યુરલ પાથવે સત્ય હોય છે.

There is no free love in nature . દરેક જાતી-પ્રજાતિમાં સેક્સ માટે પ્રાથમિક ક્વોલીફાઈંગ રમતોમાંથી પાસ થવું પડતું હોય છે. ઓલોમ્પીકમાં પ્રવેશ મળે તે માટે પણ પહેલા પ્રિ-ક્વોલીફાઈંગ મેચો રમવી પડતી હોય છે. એના માટે વર્ષો જહેમત કરવી પડતી હોય છે. પ્રાણીઓ પણ આ આવડત કેળવવા વર્ષો વિતાવી નાખતા હોય છે. જે ખાસિયતો વડે હાઈસ્કૂલમાં પૉપ્યુલર બનાય છે તેમાં અને આપણાં પૂર્વજ મેમલ્સને રીપ્રોડક્ટીવ સક્સેસ પ્રમોટ કરતી ખાસિયતોમાં કોઈ ફરક હોતો નથી. ફીજીકલ સ્ટ્રેન્થ, આકર્ષકતા, સામાજિક જોડાણ અને જોખમ લેવાનું સાહસ આ બધી લાક્ષણિકતાઓ જરૂરી હોય છે. નેચરલ સિલેકશને બ્રેઈન એવું બનાવ્યું છે કે જે આ લાક્ષણિકતાઓની ચિંતા કરતું હોય છે કેમકે તે સર્વાઈવલ માટે જરૂરી છે. માનવોમાં શાર્પ બુદ્ધિ, અભ્યાસમાં તેજસ્વિતા, વિવિધ કળાઓમાં મહારત (ગાયન, વાદન, ચિત્રકલા, લેખન, કવિતા) બધી વધારાના ખાસિયતો ગણાય.

હાઈસ્કૂલમાં કરેલી મેમલીયન સ્ટ્રગલ બ્રેઈનમાં ગૂંથાઈ જતી હોય છે. તરુણોમાં કાયમી ન્યુરલ સર્કિટ એક સારા કારણ માટે સેટ થઈ જતી હોય છે. સેક્સ માટે સાથીદાર મળે તે પહેલા મેમલ પોતાના ગ્રૂપને છોડી બીજા ગ્રૂપમાં જતા રહેતા હોય છે. નવા વાતાવરણમાં સર્વાઈવ માટે એમને ઘણુબધું શીખવું પડતું હોય છે. આપણ માનવોમાં પણ લગ્ન કરીને બીજા ગામ અને બીજા સમૂહમાં રહેવા જવું પડતું હોય છે. નવી ભાષા, નવા રીવાજો નવી ભૂગોળ શીખવી પડતી હોય છે.Puberty દરમ્યાન  રીવાયરીંગ થઈ શકે તેવું બ્રેઈન નેચરલ સિલેકશનની દેન છે. આ બધું જાણબહાર થતું હોય છે. પ્રાણીઓ કોન્શિયસ અવેરનેસ વગર ઇન-બ્રીડિંગ રોકતાં હોય છે. ચિમ્પાન્ઝી મેલ ડોમિનન્ટ સમાજ છે, ત્યાં માદા ચીમ્પે મેટિંગ પાર્ટનર મળે તે પહેલા ગ્રૂપ છોડવું પડે છે. બોનોબો ફીમેલ ડોમિનન્ટ સમાજ છે ત્યાં નરે ગ્રૂપ છોડવું પડતું હોય છે. આપણાં પુરુષપ્રધાન સમાજમાં છોકરીઓને ડોલીમાં બેસાડી સભ્ય રીતે વળાવી દેવાય છે. કન્યાવિદાય એ દીકરીઓને કાઢી મૂકવાનો અતીસભ્ય પ્રકાર ગણાય. હાઈસ્કૂલ સ્ટુડન્ટ આમ અજાગૃતપણે  સુખદાયી અને દુઃખદાયી ન્યુરોકેમિકલ સાથે ન્યુરોન્સને સંલગ્ન કરતા હોય છે.

આ નાટકમાં સેરોટોનીન મહત્વનો ચાવીરૂપ ભાગ ભજવતું હોય છે. સેરોટોનીન સુખદાયી ન્યુરોકેમીકલ છે. સામાજિક રીતે પ્રભુત્વ ધરાવતા વાનરમાં સેરોટોનીન લેવલ ઊંચું જતું હોય છે. વધારે પડતા અગ્રેસિવ વાંદરાને નાતબહાર મૂકવામાં આવે છે જંગલમાં એકલો પછી મરી જતો હોય છે. પણ જે વાનર કાયમ શરણે જ થઈ જતો હોય તેનું સેરોટોનીન લેવલ ખૂબ નીચે જતું રહેતું હોય છે. તરુણાવસ્થામાં આપણે બીજા લોકો વચ્ચે આપણી જાતને જાળવવાનું અને એક મુકામ આપવાનું શીખવું પડતું હોય છે. આપણે બીજા લોકો વડે ઘેરાયેલા હોઈએ છીએ. આ સમય હતાશાજનક હોય છે પણ જીવન જીવવાની કળા ભેટમાં આપતો આ સમય હોય છે.

આપણું બ્રેઈન સતત નક્કી કરતું હોય છે કે ક્યારે શરણે થવું અને ક્યારે પ્રભુત્વ મેળવવું. ક્યારે દાદાગીરી કરવી અને ક્યારે હથિયાર હેઠાં મેલી દેવા તે બ્રેઈન સતત નક્કી કર્યા કરતું હોય છે. આપણે કહેતા હોઈએ કે મને તો બીજાની કાઈ પડી નથી, પણ આદર કે માન મળતા સેરોટોનીન સ્ત્રવતું હોય છે જે સારું લાગતું હોય છે. અને જેમ સારું લાગે તેમ વધુ ને વધુ મેળવવાની ઇચ્છા થતી હોય છે. દરેક તક એની સાથે રીસ્ક અને રીવોર્ડ લેતી આવતી હોય છે. સમય જતા આપણે સેરોટોનીન સ્ત્રવે અને કોર્ટિસોલ દૂર રહે તેવી વર્તણુંક શીખી જતા હોઈએ છીએ. મોટાભાગનું બ્રેઈન વાયરિંગ કિશોરાવસ્થામાં થતું હોય છે કારણ તે સમયે બ્રેઈન લચીલું હોય છે. શીખવા માટે તત્પર હોય છે.

અસલામતીની ભાવના કુદરતી હોય છે. પ્રાણી જગતમાં તો બચ્ચાઓને પુખ્ત થતા મોટા પ્રાણીઓ વચ્ચે પોતાની જગ્યા બનાવી પડતી હોય છે. આપણ માનવોમાં હાઈસ્કૂલમાં ભણતા હોઈએ ત્યારે પણ માતાપિતાનો ખૂબ સપોર્ટ મળતો જ હોય છે. પણ સ્કૂલમાં બીજા સહાધ્યાયીઓ ઉપર પ્રભુત્વ મેળવવાની હરીફાઈમાં માતાપિતા બહુ મદદ કરી શકતા નથી. ઉલટાના વધુ પડતા ચોખલિયા અને નૈતિકતા ધરાવતા માતાપિતા બાળકોને ધમકાવી સીધી લીટીના બનાવવાની ઘેલછા ધરાવતા હોય છે. આમેય સ્કૂલમાં બાળકો અસહાયતા અને અસલામતી અનુભવતા જ હોય છે એમાં આવા માતાપિતા ધરાવતા બાળકો વધુ અસહાયતા અનુભવતા હોય છે. સ્કૂલમાં માનમરતબો તો તમારે જાતે જ મેળવવો પડતો હોય છે.

પર્સનલ પાવરની સમજ પુખ્ત બનતા આવતી જતી હોય છે. પોતાની જાતને પાવરલેસ અનુભવવા લાગો તેમ હતાશા વધતી જવાની, ડિપ્રેશન વધતું જવાનું. ડિપ્રેશન એટલે ડીસઓર્ડર ઑફ પાવર.. આત્મિક શક્તિની આંતરિક સૂઝ ઊભી કરવી તે જ ઉપાય છે. આ શક્તિ કોઈ આપી શકે નહિ. કે કોઈની પાસેથી ઉછીની લઈ શકો નહિ. જીવનના અનુભવો લઈને જેમ વિકાસ પામતા જઈએ તેમ આસપાસના લોકો સાથે તડજોડ કરવાનું, વાટાઘાટો કરવાનું અને સહકાર આપવાનું શીખી જવાતું હોય છે. તરુણો આવી તડજોડ અણઘડ રીતે કરતા હોય છે કેમકે તેઓ હજુ શીખી રહ્યાં છે.સમય જતા બધી આવડત આવી જતી હોય છે. અને આત્મશ્રદ્ધા પણ વધતી જતી હોય છે.

આપણને જે બ્રેઈન વારસામાં મળેલું છે તે સતત ઇચ્છતું હોય છે કે કોઈ ને કોઈ તેને નોટિસ કર્યા કરે. કોઈ ધ્યાનમાં લે જાણે એના વગર જીવન થંભી ના જવાનું હોય? દરેક મેમલીયન સમૂહમાં કેટલાક એવા હોય કે બીજાનું ધ્યાન વધુ ખેંચતા હોય છે. તમારા પાછલાં મેળવેલા અનુભવો દ્વારા ધ્યાન ખેંચવાના જુદા જુદા તરીકા તમે અપનાવતા હોવ છો. ધ્યાન ખેંચવાના તરીકા રૂપે ન્યુરલ સર્કિટ તરુણાવસ્થામાં બનાવી ચૂક્યા હોઈએ છીએ જે પુખ્તવયે સેવા કરવા હાજર જ હોય છે. કોઈ રમતગમતમાં આગળ વધી ધ્યાન ખેંચતા હોય છે કોઈ અભ્યાસમાં તેજસ્વી બનીને ધ્યાન ખેંચતા હોય છે. કોઈ અદ્ભુત ચિત્ર દોરીને કોઈ કવિતા લખીને ધ્યાન ખેંચતા હોય છે. જેમ પાઈપમાં પાણી વહેતું હોય છે તેમ ઓછામાં ઓછી વાંકાચૂકા રસ્તે બ્રેઈનમાં ઈલેક્ટ્રીસીટી વહેતી હોય છે. તરુણાવસ્થામાં ન્યુરોપ્લાસ્ટીસીટી પીક પર હોય છે. જ્યારે જ્યારે ન્યુરો કેમિકલ સ્ત્રવે ન્યુરોન્સ કનેક્ટ થતા હોય છે. આમ સુખ અર્પતી વસ્તુઓની સર્કિટ જે તરુણાવસ્થામાં બની હોય છે તે ભવિષ્યમાં પણ આજ રીતે કામ આપે છે. જ્યારે દુખ અનુભવો ત્યારે પેલાં ન્યુરલ પાથવે પર અનહેપી કેમિકલ છવાઈ જતા હોય છે. આમ ભવિષ્યમાં એનાથી દૂર રહેવાની આવડત પણ કેળવાઈ જતી હોય છે. આમ પુખ્ત બનતા ભળે તમે રીવાયરીંગ કરી, નવા પોલીશ્ડ રસ્તા બનાવો પણ એના કોરમાં મધ્યમાં તરુણ અવસ્થાએ બનાવેલ ન્યુરો ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ કામ કરતું હોય છે. આમ પુખ્તવયે કિશોર બનવાની કે તે સમયની લાગણીઓને ફરી અનુભવી તાબે થઈ બાલીશ હરકતો કરવાની જરૂર નથી હોતી, જરૂર છે તેની પ્રમાણિતતા સ્વીકારવાની નહીં કે વખોડવાની……

સૌનો લાડકવાયો (સ્વ શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૧૬મી જન્મ જયંતી)

સૌનો લાડકવાયો (સ્વ શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૧૬મી જન્મ જયંતી)

સૌના લાડકવાયા સ્વ. મેઘાણીભાઈની ૧૧૬ મી જન્મ જયંતી ઉપક્રમે ગુજરાતી લિટરરી એકેડેમી ઑફ નૉર્થ અમેરિકા અને ટીવી એશિયાના સંયુક્ત પ્રયાસ દ્વારા એક નાનકડો સાદગીપૂર્ણ પણ ભવ્ય કાર્યક્રમ ૯ સપ્ટેમ્બરના રોજ ટીવી એશિયાના ઓડીટોરીયમમા શ્રી ભીખુદાન ગઢવીની નિશ્રામાં યોજાઈ ગયો. હમણાં ‘ચાલો ગુજરાત’ જેવો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ માણેલો જ હતો, એનો કેફ ઊતર્યો પણ નહોતો અને મિત્રશ્રી દિલીપભાઈનો ફોન આવી ગયેલો આવો સરસ મજાનો પ્રોગ્રામ ઘરઆંગણે થવાનો છે. બ્લોગર મિત્ર શ્રી. જગદીશભાઈએ જણાવેલું એક કોમેન્ટમાં પણ નેટ બંધ હોવાથી મને ખબર નહોતી. પણ જગદીશભાઈ મારી આગળ બેઠેલાં જ હતા. વળી હમણાં આપણ રામ આરામ હી રામ હૈના સૂત્રનો અમલ પ્રામાણિકતાથી કરીએ છીએ. એટલે આવા કાર્યક્રમમાં જવામાં ખાસ કોઈ અડચણ આવે નહિ.

હું પહોચ્યો ત્યારે ગુજરાતી લિટરરી એકેડેમીના પ્રમુખશ્રી રામભાઈ ગઢવી શરૂઆતમાં કરાનારા ઔપચારિક ભાષણ કરી રહ્યાં હતા. રામભાઈ મિતભાષી છે. અને એમના વક્તવ્યોમા હાસ્યરસ ઓટોમેટિક ભળી જતો હોય છે. સાદાં સરળ પ્રકૃતિના રામભાઈ સ્માઈલિંગ ફેસ ધરાવતા વ્યક્તિ છે. માઇક પર બહુ સમય લે નહિ. પણ આપણને એવું થાય કે માઇક એમનો સમય વધુ લે તો વધારે હસવાનું મળશે અને મજા પડી જાય. અને એમના સાચા વખાણ કરીશું તો કહેશે લે આતો મને પણ ખબર નહોતી. પ્રોગ્રામનું સંચાલન કરતા બેન ગાયત્રીને ઉદ્દેશીને કહેશે કે આ ગાયત્રી મારા વધુ પડતા વખાણ કરે છે જો કે વખાણ કોને ના ગમે એવું પણ ઉમેરી લેવાના.

માઇક માટે એકદમ પરફેક્ટ અવાજ ધરાવતા ગાયત્રીને સાંભળી મને લાગ્યું ફીમેલ હરીશ ભીમાણી. વક્તાઓનો પરિચય આપવાની અને એમને બોલવા આમંત્રણ આપવાની જવાબદારી નિભાવતા નિભાવતા મેઘાણીભાઈ વિષે પણ સુંદર બોલતા જવાનું. અવાજનું માધુર્ય બહુ ઓછા લોકોના નસીબમાં હોય છે. ગાયત્રીને અવાજમાધુર્ય અને રૂપમાધુર્ય બંને વરેલું છે.

અવાજ વિષે કહું તો હું બહુ જલદ દાઝી જવાય તેવું લખું છું તેવું મિત્રો માને છે ભલે મને ના લાગતું હોય. પણ જ્યારે મારા વાચકમિત્ર સાથે ફોન પર કે રૂબરૂ વાત કરું તો તે લોકો માની શકતા નથી કે મારો અવાજ મારા લખાણો જેટલો જલદ કે પ્રભાવશાળી નથી. ઘણા મિત્રોએ કહ્યું કે મારો અવાજ બહુ સોબર છે. મારા લખાણો પરથી મિત્રો માની લેતા હશે કે આમનો અવાજ પણ કોઈ મેઘગર્જના જેવો હશે. મેં એક મિત્રને જણાવેલું પણ ખરું આવી ચર્ચા દરમ્યાન કે હરીશ ભીમાણી કે બચ્ચન મારા જેવું જલદ લખી ના શકે ભલે એમનો અવાજ ભારેખમ હોય. હહાહાહાહા!!!

ઓગસ્ટ ૨૮, ૧૮૯૬ ચોટીલામાં જન્મેલા અને માર્ચ ૯, ૧૯૪૭મા ફક્ત ૫૦ વર્ષની ઉંમરે ગરવી ગુજરાતને કાયમ માટે છોડી સ્વર્ગારોહણ કરનારા ઝવેરચંદ મેઘાણીના જિન્સ હાજર હતા. એમના મોટાપુત્ર મહેન્દ્રભાઈ મેઘાણી તો હાજર નહોતા પણ એમનું આઠમું સંતાન અને સૌથી નાના પુત્ર એવા શ્રી અશોકભાઈ મેઘાણીને જોઈ એવું લાગ્યુંકે મારા માનિતા સાહિત્યકાર સદેહે હાજર છે. શ્રી અશોકભાઈ મેઘાણી ગ્રેટ પિતાશ્રીની યાદમાં એટલાં ગળગળા હતા કે કશું વધુ બોલી શક્યા નહિ. એમણે કહ્યું હું શું બોલું? એ બહુ નાનાં હતા ફક્ત ચાર વર્ષના અને પિતા ગુજરી ગયેલા. એમનો ચહેરો કે સ્મૃતિ ચિહ્ન યાદ જ નથી. જે કાઈ પણ છબી પિતાની માનસપટલ પર ઊપસે છે તે એમના જોએલા ફોટા અને એમનું લખેલા સાહિત્યનું પ્રતિબિંબ છે. એટલું યાદ છે કે એમના પિતા કશું કામ કરતા હોય લખતા હોય અને એમને ખલેલ પહોચાડવાની સખત મનાઈ હોય ત્યારે કશું કામ પડે તો બાળ અશોકને ઓરડામાં મોકલવામાં આવતો.

હવે વારો આવ્યો  કાજલ ઓઝા વૈદ્યનો. કાજલે મેઘાણીભાઈના જન્મ દિવસ વિષે તારીખ, વાર, તિથિ, સમય, ચોટીલાના અક્ષાંશ-રેખાંશ, નક્ષત્ર, રાશી અને ચંદ્ર્લગ્ન બધું બોલીને પહેલે સપાટે મોભો પાડી દીધો. મને મનમાં ખૂબ હસવું આવ્યું અને આજુબાજુના મિત્રો સાશ્ચર્ય પ્રભાવિત થઈ ગયા. કાજલ ઓઝાએ પ્રમાણિકતાથી કહ્યું  કે ‘ હું મેઘાણીભાઈ જેવા સમર્થ બહુમુખી સાહિત્યકાર વિષે કહેવા બહુ નાની પડું, અને એના માટે મારે ઘણુંબધું લેસન કરવું પડ્યું.’ જો કે ઓઝા એમના કરેલા લેસન માટે ૧૦૦ માંથી ૧૦૧ માર્ક લઈ ગયા તે હકીકત છે. કાજલ ઓઝાએ મેઘાણીભાઈ વિષે એટલી બધી રસપ્રદ સુંદર અને બહુ જાણીતી ના હોય તેવી માહિતી પીરસી કે ના પૂછો વાત. એમના વક્તવ્યનો ભાવાર્થ લખું કે મેઘાણી ભાઈએ સાહિત્યના લગભગ તમામ પ્રકારનું ખેડાણ કર્યું છે. કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા, નિબંધ, નાટકો, અનુવાદ લગભગ તમામ પ્રકારના સાહિત્યમાં એમનો હાથ હમેશા ઉંચો રહ્યો છે. મેઘાણીભાઈ કોલમ લખતા હતા. ૧૯૩૭ના ગાળામાં  દેશવિદેશની ખૂબ સુંદર અને અણજાણ માહિતી કોલમમાં પીરસતા હતા. તે સમયે ક્યાં ઇન્ટરનેટ હતું? ફ્રેંચ રાષ્ટ્રગીત કોણે અને કયા સંજોગોમાં લખેલું તે માહિતી તે સમયે મેઘાણીભાઈ ક્યાંથી ખોળી લાવતા હશે? અનુવાદમાં તો એમણે સાદાં અનુવાદ નથી કર્યા પણ અનુસર્જન કર્યું છે. અનુવાદમાં પણ એમની સર્જકવૃત્તિએ મેદાન માર્યું હતું. લાગે જ નહિ કે આ અનુવાદ છે. કવિ લૉર્ડ બાઈરન એમના પ્રિય હતા. દુનિયાની મોટાભાગની ભાષાના સાહિત્યને તેમણે ખેડ્યું હતું અને એનું ગુજરાતીમાં દર્શન કરાવ્યું હતું. વૈશ્વિક સાહિત્યને ગુજરાતી ફલક પર ઉતારનારા એ સૌના લાડકવાયા મેઘાણીભાઈ હતા. એસ્કિમોને ‘હિમબાળ’ તરીકે ઉતાર્યા હતા. આમ મેઘાણીભાઈ ઉત્તરધ્રુવ પણ પહોચી ગયા હતા. ટોલસ્ટોયના પત્નિએ કોઈ પુસ્તકમાં એના પતિની નિંદા કરી હશે એના માટે મેઘાણીભાઈએ શબ્દ વાપર્યો છે સાહિત્યમાં ચમારવૃત્તિ..મેઘાણીભાઈએ રવીન્દ્રનાથ ઠાકુરને(કુરબાનીની કથા) પણ ગુજરાતીમાં ઉતાર્યા હતા. શ્રી કાજલ ઓઝા વૈદ્ય જેવી આજની સમર્થ લેખિકા મેઘાણીભાઈ જેવા ભવ્ય સાહિત્યકાર વિષે બોલતા હોય અને તે પણ પુરા હોમવર્ક સાથે ત્યારે કાઈ કહેવાપણું હોય ખરું? અઢળક માહિતી એમણે પીરસી જે બધી અહી ઉતારવી અશક્ય છે.

ડૉ મહેતાનું કહેવું હતું કે ઢેલીબાઈ અને અમૃતલાલ શાહ એમના જીવનનો ટર્નીગ પોઇન્ટ હતો. ઢેલીમાંએ એમને લોકસાહિત્યમાં રસ લેતા કર્યા અને અમૃતલાલે પત્રકાર, તંત્રી, એડિટર બનાવ્યા. મેઘાણીભાઈ ફૂલછાબ અને જન્મભૂમિમાં એડિટર હતા.

‘ચાલો ગુજરાત’ ના આયોજક સુનીલ નાયકે કહ્યું કે કાજલ ઓઝા વૈદ્ય બોલી ચૂક્યા હોય અને ભીખુદાન ગઢવી બોલવાના હોય તે વચ્ચે હું સમય લઉં તે મારા અને બીજા શ્રોતાઓ માટે પનીશમેન્ટ કહેવાય.

હવે જેની ઉત્કંઠા પૂર્વક રાહ જોવાતી હતી તેવા જાણીતા શ્રી ભીખુદાન ગઢવી અને એમનો નાનકડો ડાયરો સ્ટેજ પર વિરાજમાન થયો. એમના શબ્દોનો ભાવાર્થ જણાવું કે મેઘાણીભાઈએ લોકસાહિત્યનું જબરદસ્ત સંકલન કર્યું છે. એના માટે ગામેગામ તેઓ રખડતા હતા. ભીખુદાનભાઈ વચમાં એમના ચારણી ગાળાને ગહેકાવી પણ લેતા હતા. વચમાં હસાવી પણ લેતા હતા. આખેઆખું લોકસાહિત્ય જેના મોઢે હોય તેવા ભીખુદાન ગઢવી જ્યારે સમર્થ સાહિત્યકાર એવા મેઘાણીભાઈ વિષે કહેતા હોય, ગાતા હોય ત્યારે કાઈ કહેવાપણું હોય ખરું? વચમાં વચમાં ભારતીબેન વ્યાસ અને બીજા સાથી ગાયક કલાકારો પાસે મેઘાણીભાઈએ રચેલી રચનાઓ પણ ગવડાવતા હતા. ભીખુદાન ભાઈએ જણાવ્યું કે મેઘાણીભાઈ લોકસાહિત્યને સામાન્યજન પાસેથી પણ શોધી લાવવા ખૂબ મહેનત કરતા. એમના મનમાં આવ્યું કે મારે દરિયાના ગીતો ભેગાં કરવા છે. ખૂબ તપાસના અંતે જાણવા મળ્યું કે કોઈ ખારવા કોમની ડોશી આવા ગીતો ગાતી હોય છે. મેઘાણીભાઈ યેનકેન પ્રકારે એની પાસે પહોચી ગયા. આતો મજુરબાઈ ક્યાંક કામ કરતી હતી. મેઘાણીભાઈ ત્યાં બેસી ગયા કહે મા મને દરિયાના ગીતો સંભળાવ. ખારવા દરિયાની ખેપ મારવા જાય ત્યારે અને એના સંદર્ભને ગવાતા ગીતો એમણે એની પાસેથી સાંભળ્યા. ભાવાર્થ એવો હતો કે જુવાનિયા દરિયામાં તોફાનો આવે હિંમત હારતો નહિ. એક ગીત એવું હતું કે માતા એના દીકરાને કહેતી હતી કે હું દરણા દળીને તને ખવડાવીશ પણ હવે દરિયામાં ખેપ નહિ મારવા દઉં. માના પ્રેમની આ બધી વાતો છે. આવી બધી પંક્તિઓમાં ભીખુદાનભાઈના કંઠના કામણ ભળે એટલે વાતાવરણ ભાવુક બની જાય.

તબલાવાદકનો પરિચય આપ્યા પછી એમણે કહ્યું કે એકવાર કોઈ નદીમાં બહુ મોટું પુર આવેલું ગામ લોકો જોવા ભેગાં થયેલા. તો લોકોએ જોયું કે નદીમાં તબલાની જોડ તરતી તરતી જતી હતી. કોઈ વડીલે જુવાનિયાને કહ્યું કે અલ્યા ગમેતેમ કરી કાઢી લો કામ લાગશે. આમેય નવરાત્રિમાં વગાડવા ખૂટે છે. લોકોએ મહામહેનતે તબલા કાઢ્યા તો ભેગાં ભગત પણ બહાર નીકળયા. તબલા કેડે બાંધી ભગત જતા હશે ને પુરમાં ફસાઈ ગયેલા. એક ઝાડ પર અડધો દિવસ ઊંધા ટીંગાડી રાખ્યા અને બધું પાણી નીકળી ગયું ત્યારે ભગત માંડ માંડ બોલ્યા કે એકાદી કળા આવડતી હોય તો બચી જવાય. તબલાએ એમને બચાવ્યા. હસાવવાની કળા ડાયરાના કલાકારને ના આવડતી હોય નવાઈ કહેવાય. ભીખુદાનભાઈ ખૂબ હસાવે.

એક બહુ ઉત્તમ વાત કહી કે ‘તોતડી જીભ હોય તે પ્રભુની દેન છે પણ તોછડી જીભ હોય તો વાંક આપણો છે, જીભ પરના ઘા તો રુઝાઈ જાય પણ જીભે દીધેલા ઘા કદી રુઝાતા નથી.’ એક સાસુ વહુનો સરસ દાખલો આપ્યો જે દરેક સાસુ વહુએ ગાંઠે બાંધવા જેવો છે. એક વહુ નવી પરણેલી સાસરીમાં કોઈ ખાઉધરી સમજી ના લે માટે ઓછું ખાતી. દિયર જોડે સાઠગાંઠ કરી તલની ઘાણીથી તલની સાની(હાની) છાનામાની મંગાવી ઘંટી નીચે સંતાડી રખાવતી. વહેલી સવારે દળણું દળવા બેસે એટલે ખાઈ લે. પણ એકવાર સાસુએ કચરો વળવા સાવરણી  ફેરવી ને પેલો કચરીયાનો વાટકો બહાર આવ્યો, સાસુ સમજી ગઈ બધી વાત પણ ચાખી જોયું તો હાની મોળી હતી. સાસુએ એમાં ગોળ ભેળવી દીધો. ઘણા દિવસ આવું ચાલેલું. વર્ષો પછી વહુ સાસુ બની ગઈ અને સાસુ વડસાસુ. ઘરડા વડસાસુએ નવી આવેલી વહુ વિષે પૂછ્યું તો એમની વહુએ જવાબ આપ્યો કે બધી વાતે સરસ છે પણ કામમાં જરા મોળી છે. વૃદ્ધ વડસાસુએ જવાબ આપ્યો કે એમાં શું થયું જરા ગોળ ભેળવી દે. તને ખબર નથી પણ તારી હાનીમાં મેં ખૂબ ગોળ ભેળવ્યો હતો.
ભીખુદાનભાઈ આવી અનેક વાતો કરતા હતા. મેઘાણીભાઈની રચનાઓ ગાતા અને ગવડાવતા હતા. એમના વિષે બીજા કવિઓએ રચેલી રચનાઓ પણ જણાવતા હતા. પણ મારે એક બર્થડે પાર્ટીમાં જવાનું હોવાથી કમને પ્રોગ્રામ અધુરો મૂકી ભાગવું પડેલું.

મિત્રોને ખબર નહિ હોય અહી સભામાં હું હતો ત્યાં સુધી ઉલ્લેખ થયો નહોતો પણ “સિંધુડો” રચવા બદલ બ્રિટીશ રાજે શ્રી મેઘાણીને બે વર્ષની જેલમાં નાખ્યા હતા. શ્રી મેઘાણી ઉમદા સાહિત્યકાર, સાહિત્ય દ્વારા સમાજસુધારક અને ફ્રીડમ ફાઇટર પણ હતા. એમની વાર્તાઓમાં સમાજના છેવાડાના ગણાતા પાત્રોના મુખે સમાજમાં ચાલતી બદીઓ સામે જબરદસ્ત પંચ મુકાયેલા છે.

સૌરાષ્ટ્રની રસધાર નહિ વાંચી હોય એવા કેટલા ગુજરાતીઓ હશે? એકપણ ના હોવો જોઈએ એવું મારું માનવું છે. બાકીના ગુજરાતને સૌરાષ્ટ્રની સાચી ઓળખ આપનારા, સૌરાષ્ટ્રના ખમીર અને શૌર્યથી બાકીના ગુજરાતને અવગત કરાવનારા એવા મેઘાણીભાઈ “સૌના લાડકવાયા” હતા. નાન્હાલાલ સાહિત્યના પર્યાય હતા અને ગાંધીજી લોકોના પર્યાય હતા અને બંનેને સેવનારા મેઘાણીભાઈ લોકસાહિત્યના પર્યાય હતા આવી મેઘાણીભાઈની ઓળખ આપનારા શ્રી અશોકભાઈ મેઘાણીને ફરી યાદ કરીને હું સ્વ. શ્રી ઝવેરચંદ મેઘાણીને ખૂબ ખૂબ વંદન કરું છું.

ચાલો ગુજરાત રે, એડીસન ગામમાં !!!

ચાલો ગુજરાત રે, એડીસન ગામમાં!!!

મહિનાથી ખુશ થતા હતા કે ‘ચાલો ગુજરાત’ માં જઈશું અને ખૂબ મજા આવશે. ખાસંખાસ મિત્ર દિલીપભાઈ ભટ્ટનો ફોન આવી ગયેલો કે બાપુ, ટીકીટની ચિંતા કરતા નહિ હું બુક કરાવી લઈશ. આપણા મલકના માયાળુ માનવી એવા જૂનાગઢના દિલીપભાઈ મને નાનાભાઈની ખોટ પડવા દેતા નથી. ૩૧ ઓગસ્ટ, શુક્રવારથી શરુ થઈને ૨, સપ્ટેમ્બર રવિવારે મોડી રાત્રે પૂરો થનારો આ આધુનિક અમેરિકન બંધ સાઉન્ડપ્રૂફ પેટીપૅક હોલમાં ભરાનારો ન્યુજર્સીના એડીસન ગામનો તરણેતરનો મેળો જ સમજી લેવાનો. ન્યુ જર્સી એટલે અમેરિકામાં વસેલું ગુજરાત અને એડીસન એટલે આ ગુજરાતનું હૃદય. એડીસનમાં આવેલા આ રેરીટન સેન્ટરના આ એકસ્પો હોલમાં ફાલ્ગુની પાઠક નવરાત્રિમાં ગરબાની રમઝટ બોલાવતા હોય છે.

આઈના સંસ્થા દ્વારા દર બે વર્ષે અમેરિકામાં વસેલા ગુજરાતીઓ ભેગાં કરીને એમને આયનામાં એમનું પ્યારું ગુજરાત પાછું બતાવવાના સંનિષ્ઠ પ્રયાસ એના સંચાલકોની અથાગ મહેનત દ્વારા થતા હોય છે. ત્રણ દિવસ થનારા ભરપૂર કાર્યક્રમોનું આયોજન આઠ-નવ મહિનાની સતત મહેનતનું પરિણામ હોય છે. ગુજરાતથી કેટલા બધા મહાનુભાવોને બોલાવવાના, એમની સગવડ સાચવવાની, અતિઆધુનિક ટેક્નોલૉજી વાપરી દ્ગશ્ય-શ્રાવ્ય પ્રોગ્રામ આયોજિત કરવાના, ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ દર્શાવતા કાર્યક્રમોનું આયોજન કરવાનું આ બધું ખૂબ મહેનત માંગી લે તેવું હોય છે.

“આઈના સંસ્થા અને તેના સંચાલક સુનીલ નાયક અને તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ.”

પ્રથમ દિવસે તો સંજોગો એવા હતા કે હું જઈ શક્યો નહોતો. ભીખુદાન ગઢવીનો ડાયરો ચૂકી ગયો. મારા ખાસ ફેવરીટ પાર્થિવ ગોહીલનો પ્રથમ દિવસનો પ્રોગ્રામ પણ ચૂકી જવાયો. બીજા દિવસે દિલીપભાઈ આવી શકે તેમ નહોતા. જોકે મારા માટેનું રજિસ્ટ્રેશન એમણે આગલે દિવસે કરાવી નાખેલું અને હોલમાં જરૂરી પ્રવેશપત્રરૂપી પ્લાસ્ટિક ટેગ,  હાથે બંગડીની જેમ દરેકે પહેરી રાખવાની હોય છે તે સવારમાં દિલીપભાઈ આવીને આપી ગયેલા. પ્રવેશ માટેનો સમય ચોક્કસ ખબર ના હોવાથી હું તો દસ વાગ્યે પહોચી ગયો. એક છકડો ત્યાં પડેલો. એક રિક્ષા પણ પડેલી. થોડીવાર માટે ભૂલી ગયો કે અમેરિકામાં છું. ગુજરાતના કોઈ શહેરમાં રિક્ષા માટે રાહ જોઈને ઊભો હોઉં તેવું લાગ્યું. રિક્ષામાં અને છકડા પર બેસીને લોકો ફોટા પડાવતા હતા. પછી ખબર પડી કે ટાઈમ તો બપોરે એક વાગ્યાનો છે. ઘર નજીક એટલે પાછો ઘેર વહ્યો ગયો. બાર વાગ્યે પાછો આવ્યો તો ખૂબ લાઈન લાગી ગયેલી. પ્રવેશદ્વાર આગળ ઉપર કઠપૂતળીઓ લટકાવેલો સુંદર પૅસેજ બનાવેલો હતો. લોકોની ભીડ જામતી હતી. આ પૅસેજ નાનો હતો અને પ્રવેશવાનો સમય એક વાગ્યાનો હતો એટલે ઉભા રહેનારા ખૂબ વધી ગયા. પૅસેજ પૂરતો છાંયડો હતો બાકી લોકો તડકામાં લાઈન લગાવીને ઊભેલા. આવા પ્રોગ્રામમાં અહીંના બોર્ન યંગસ્ટર્સને રસ ઓછો હોય તે સ્વાભાવિક છે. પ્રેક્ષકોમાં આધેડ અને વૃદ્ધ જ વધુ હોય અને આવું લાંબા સમય તડકામાં ઉભા રહેવાનું તકલીફદાયક હોય. લોકોનું કહેવું હતું કે ભલે પ્રોગ્રામ એક વાગે શરુ થતો અંદર બેસવા તો દો? એક વાગી ગયો પણ કોઈ દરવાજા ખોલે નહિ. એમની જે મજબૂરી હોય તે પણ છેવટે લોકો મૅનેજમેન્ટ હાય…હાય… એવી બુમો પાડવા લાગ્યા ત્યારે દરવાજા ખૂલ્યા. આ દરમ્યાન સમય પસાર કરવા લોકો ગામગપાટા મારે તે સ્વાભાવિક છે. એક કાકા કહે કાલે બાસુંદી જરા ખટમીઠાં સ્વાદવાળી હતી. હું તો આગલે દિવસે આવેલો નહિ એટલે મને તો ખબર નહિ. કાકા કહે એક વોલેન્ટિયર ભાઈને પુચ્છ્યું તો કહે દહીંની બાસુંદી બનાવેલી છે માટે ખાટી છે. બધા ખૂબ હસવા લાગ્યા. મેં કહ્યું કાકા,  એ ભાઈએ કટાક્ષમાં કહ્યું હશે તમે સાચું માની ગયા, બાકી દહીંની બાસુંદી કદી હોય નહિ. બાસુંદી ગરમીમાં ફાટી ગઈ હશે. કાકા કહે મને એમ કે મઠો જેવો કોઈ બાસુંદીનો નવો પ્રકાર હશે. કાકા પણ લોકોને હસાવવાને મુડમાં હતા. એક બહેન બોલ્યા તો પછી પાછળથી બાસુંદી મૂકવાનું બંધ કેમ કરી દીધું?

અનુભવી અને અનેક વખત સફળતાપૂર્વક આયોજન કરી ચૂકેલા સંચાલકો પણ ક્યારેક આવી બાબતોમાં માર ખાઈ જતા હોય છે. એમાં એમના કરતા કેટરરનો વાંક વધુ હોય છે. અગાઉના આવા આયોજન વખતની રસોઈના વખાણ પણ લોકો ખૂબ કરતા હતા. મજાક મસ્તી અને અકળામણ કાઢતા લોકો છેવટે અંદર પ્રવેશ પામ્યા. હું તો એકલો હતો કોઈ ઓળખીતું મળી જાય તો ઝડપી લેવાની તાકમાં હતો અને નિકેતાબેન વ્યાસ અને રેખાબેન પટેલને જોઈ લીધા. ફેસબુક મિત્રો કામ લાગ્યા ખરા. બંનેના પતિદેવને મળ્યો. જનકભાઈ દેસાઈ મળ્યા, જયેશભાઈ ભટ્ટ મળ્યા. કંપની મળી ગઈ હતી. જનકભાઈ કવિહૃદય અને ધર્મો કરતા માનવધર્મને વધુ માને. દરેક વસ્તુમાં એમને કવિતા જડે. આ જનકભાઈના જીવનના એક પ્રસંગમાંથી સહુએ શીખ લેવા જેવી છે, જો ભારતમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવો હોય તો. જનકભાઈને વર્ષો પહેલા એક પ્રસંગે એવું બન્યું કે એમને કોઈને મળવું નહીં હોય તો પત્નીને કહેવાનું મન થયું કે ના પાડી દે કે પોતે ઘરમાં નથી. હજુ આવું કહેવાનો વિચાર જ આવ્યો છે, ત્યાં બાજુમાં એમની નાનકડી ત્રણ વર્ષની બેબી રમતી હતી. જનકભાઈને થયું કે હું આવું જૂઠ બોલીશ તો આ બાજુમાં રમતી બેબી અનકોન્શિયસલી  સાંભળશે તો ખરી જ અને એના મન પર શું અસર પડશે? બસ એ દિવસથી જનકભાઈના કહેવા પ્રમાણે એમના જીવનમાં પરિવર્તન આવી ગયું. ઋજુ હ્રદયના માલિક એવા જનકભાઈને સલામ કરવાનું મન થાય છે.

કોઈએ ફેસબુકમાં પૂછેલું કે સમય એટલે શું? મેં મજાકમાં નીચે કૉમેન્ટ લખેલી કે સમય એટલે હરીશ ભીમાણી. મહાભારત સીરીયલ સહુએ જોઈ હશે, એટલે હરીશ ભીમાણી વિષે ઓળખ આપવાની હોય નહિ. હરીશ ભીમાણી, સોહાગ દીવાન, અમીન સયાની અને અમિતાભ બચ્ચન આ બધા બુલંદ અવાજની દુનિયાના બાદશાહો કહેવાય. હરીશ ભીમાણી હસતા જાય હસાવતા જાય અને એક પછી એક થનારા પ્રોગ્રામની માહિતી આપતા જતા સંચાલન કરતા જાય. ગુજરાતની ગાથા વર્ણવતા સાંસ્કૃતિક પ્રોગ્રામ એક પછી એક જોવાની ખૂબ મજા આવતી જતી હતી. વચમાં વચમાં મહાનુભાવોના ભાષણોમાં પણ ગુજરાતનું ગૌરવ છલકાતું જાય.

મારો ફેવરીટ પાર્થિવ ગોહીલ આવ્યો અને એના કર્ણપ્રિય ગાયન વડે અદ્ભુત જમાવટ કરી દીધી. સુગમ સંગીત હોય, ફિલ્મી ગીતો હોય, રાસગરબા હોય પાર્થિવનો જોટો જડવો મુશ્કેલ. કદાચ મિત્રોને ખબર નહિ હોય આ પાર્થિવ શાસ્ત્રીય ગાયકીમાં પણ કોઈ મહાપંડિત કે ખાંસાહેબને ટક્કર મારે તેવું ગાય છે. એની શાસ્ત્રીય રાગો આધારિત બંદિશ’ સીડી હું મારી કારમાં કાયમ રાખું છું. કવિ નર્મદના ‘જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત’….અને એવા બીજા ગીતો ગાઈને પાર્થિવે અદ્ભુત રસાસ્વાદ કરાવી દીધો. રાસગરબા અને દુહાની રમઝટ એવી બોલાવી કે સમય થંભી ગયો…અહીં સમય એટલે હરીશ ભીમાણી સમજવાની છૂટ છે…પાર્થિવે તન, મન અને દિલ ડોલાવી દીધું હતું.

વસ્ત્રાપુર, અમદાવાદની બ્લાઈન્ડ સ્કૂલના પ્રજ્ઞાચક્ષુ બાળકોએ જે નૃત્યો, ગરબા અને પીરામીડ દર્શાવીને એવું ઇમોશનલ વાતાવરણ બનાવી દીધું કે ભાઈ મારી આંખોમાં તો પાણી આવી ગયા. આ અંધ બાળકોના  પર્ફૉર્મન્સ જોઈને એવું લાગે કે આ ખરેખર અંધ બાળકો છે કે આપણે અંધ છીએ? ખરેખર બુદ્ધિ (પ્રજ્ઞા) જેની ચક્ષુ છે તે લોકો જ સાચું દેખતા છે, આપણે દેખતા આંધળાઓને કોણ સાચો રાહ બતાવી શકે?? એક આવી પ્રજ્ઞાચક્ષુ બાળા પાછી હરીશ ભીમાણી સાથે શૉનું સંચાલન પણ કરતી હતી. ભણેલા અભણ અને દેખાતા અંધોનો કોઈ ઉપાય નથી. આઈના સંસ્થા આવા પ્રોગ્રામ વખતે કદી ડોનેશન માંગતી નથી પણ આ અંધ બાળકોની સ્કૂલ માટે જ્યારે દાન આપવા વિનંતી કરાઈ તો માયાળુ ગુજરાતીઓના હૃદય સાથે ખિસ્સા પણ ખૂલી ગયા. સંસ્થાના પ્રમુખ, ઉપપ્રમુખ સાથે લોકો ડોલર્સનો વરસાદ વરસાવવા લાગ્યા. કોઈ પાંચ હજાર, તો કોઈ બે-ત્રણ હજાર લખાવવા માંડ્યા. બસો પાંચસોનો તો પાર જ નહોતો. ગુજરાતી કરકસરિયો  ખરો પણ દાન આપવામાં પણ એટલો જ ઉદાર હોય છે. ગુજરાતી પૈસા ભેગાં કરી જાણે અને વાપરી પણ જાણે.

સુગમ સંગીત, ભજન સંધ્યા, નાટિકાઓ, નૃત્યો, મહાનુભાવોના વ્યાખ્યાનો, સન્માન સમારંભો, કવિ સંમેલન વગેર વગેરે એટલાં બધા ભરપૂર કાર્યક્રમો વડે ‘ચાલો ગુજરાત’  છવાયેલું હતું કે બધાનું વર્ણન કરવું મુશ્કેલ છે. હરીશ ભીમાણી પછી પાકા અમદાવાદી એવા રેડિયો મિર્ચીના ધ્વનિતનો વારો આવે એટલે સ્ટેજ ખુદ દોડતું થઈ જાય. હસતો હસાવતો, વન લાઇનર મારવામાં જબરો કાબેલ, ઊર્જાથી છલકાતો, દોડાદોડ કરતો ધ્વનિત આવે એટલે રંગત છવાઈ જાય. વચમાં રઈસ મણિયાર આવીને દૂંટીમાંથી હસાવી જાય.

ઓબામના પ્રતિનિધિની તરીકે ન્યુજર્સીના  સેનેટર બોબ આવેલા સાથે લાવેલા ઓબામા ઍડ્મિનિસ્ટ્રેશનમાંથી ત્રણ ઉચ્ચ અધિકારીઓ. ગુજરાતના અને ગુજરાતીઓના ગૌરવની વાત એ હતી કે ત્રણે ગુજરાતીઓ હતા અને ત્રણે શાહ હતા. બે યુવાનો હતા અને એક હતા સોનલ શાહ. આવા લબરમુછીયા યુવાનોને ભારત સરકારમાં આવા ઉચ્ચ હોદ્દા પર કામ કરતા જોવામાં કદી આવે જ નહિ. આપણા આઈ.એ.એસ. કે એવા સમકક્ષ યુવાનોને આસિસ્ટન્ટ તરીકે વર્ષો વીતી જાય પછી આધેડ અવસ્થાએ ઉચ્ચ હોદ્દો મળતો હોય છે. ઓબામા કદાચ પહેલા એવા પ્રમુખ હશે કે જેમણે ભારતીયો અને ગુજરાતીઓની સૌથી વધુ કદર કરી છે. સેનેટર સાથે બધાએ ટૂંકા વ્યક્તવ્યો આપ્યા. ધ્વનીતે સેનેટરને ગુજરાતીમાં ‘કેમ છો’ બોલવા વિનંતી કરી. સેનેટર એટલું જોરથી ડરાવી દે તેમ પ્રશ્ન પૂછવાની સ્ટાઇલમાં કેમ છો બોલ્યા કે બધા હસી પડ્યા.

ગુજરાતના લોકલાડીલા મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આધુનિક ટેક્નોલૉજીના  પ્રતાપે ગુજરાતમાં બેઠાં બેઠાં અહીંના ઉપસ્થિત લોકોને સંબોધ્યા. મોદીના ભાષણમાં કાઈ કહેવાપણું હોય ખરું? આટલાં બધા ગુજરાતીઓ ભેગાં મળેલા જોઈને એમનું હૈયું હરખાયા વગર રહે ખરું?  આયોજક સુનીલ નાયકને અને તેમની ટીમને સંબોધીને મોદીએ ખૂબ અભિનંદન આપ્યા. મોદી અહીંનો પ્રોગ્રામ ત્યાં બેઠાં બેઠાં જોતા હતા. અહીં હાજર વ્યક્તિઓને નામ દઈને યાદ કરીને અભિનંદન આપતા હતા. અહીંની ગુજરાતી લિટરરી એકેડેમીના શ્રી રામભાઈ ગઢવીનું નામ દઈને યાદ કર્યા તો અમને બધા સાહિત્ય રસિકોને ખૂબ ગમ્યું.

મિસ ગુજરાત અમેરિકા નામની બ્યુટી કોન્ટેસ્ટ પણ યોજાઈ હતી. આઠ સુંદર યુવતીઓ બિલાડીચાલ(કેટ વોક) સ્ટેજ પર ચાલતી હતી. એમના પરિચય પછી એમની ટેલેન્ટ જોવાની હતી. લગભગ બધાએ સોલો ડાન્સ રજુ કર્યા. એક છોકરીએ એકાંકી ભજવ્યું હતું. એક બહેને કથ્થક નૃત્ય કરીને કથ્થકનો કચરો કરી નાખ્યો એવું લાગ્યું. છોકરીઓએ ખાલી આ સ્પર્ધા પુરતા ડાન્સની પ્રેકટીશ કરી હોય તેવું લાગ્યું. સુંદરતાની વ્યાખ્યા અને માપદંડ દરેકના મનમાં અલગ અલગ હોય છે. એટલે મને તો કોઈ છોકરી મિસ ધોરાજી, મિસ ઉપલેટા, મિસ રાજ કોટ, મિસ કડી-કલોલ કે મિસ હાલોલ-કાલોલ બને તેવીય લાગી નહિ…આજુબાજુ બેઠેલા ઘણા પ્રેક્ષકોનું કહેવું હતું કે આવા નાટક તો કરવા પડે અને રિજલ્ટ તો અગાથી ડીસાઈડ થઈ ગયેલા હોય છે.

ધ્વનિત લોકોને જાતજાતની ગેઇમ રમાડે અને કોઈ જ્વેલર તરફથી સોનાના સિક્કા ગીફ્ટમાં આપતો જાય. કોઈને પૂછે કે રાજકોટનું શું ફેમસ છે? ખંભાતનું શું પ્રખ્યાત છે? લોકો પણ જવાબ આપે કે રાજકોટના પેંડા, ખંભાતનું હલવાસન અને સુરતનો લોચો વખણાય છે. બધાને સોનાના કોઈન(સિક્કા) અપાતા જાય. પણ ભાઈલો પ્રેક્ષકોમાં આગળની લાઈનોમાં ફર્યા કરે. એટલે પાછળની લાઈનોમાં બેઠેલાં બુમો પાડવા લાગ્યા. બધાને સોનાના સિક્કાની લાલચ હોય જ ને? પાછળ આવ્યો ખરો પણ મોટો લાભ આગળ બેઠેલાં લોકોને જ મળ્યો. છેવટે ગુજરાતી મૂળાક્ષરોનો આખો કક્કો એક પણ અક્ષર ચૂક્યા વગર બોલવાનું કહ્યું. ભાગ્યેજ કોઈને આખો કક્કો ક્રમવાર બોલતા આવડે. કોઈ ‘ટ’ ભૂલી જાય તો કોઈ ‘ફ’ ભૂલી જાય. ‘કાચો પાપડ પાકો પાપડ’ ઝડપથી ભૂલ વગર બોલવાનું લોકોને જણાવ્યું. થોડીવાર બોલ્યા પછી ગોટાળો થઈ જ જાય. પણ છેવટે સૌથી વધારે વખત ભૂલ વગર બોલનારા ભાઈને એર ઇન્ડિયા તરફથી ભારત આવવાની ટીકીટ ફ્રીમાં મળી ગઈ. ધ્વનીતે થોડા ફિલ્મી સેલીબ્રીટીના ઇન્ટરવ્યું લીધા હશે. એમના અવાજ પરથી તે લોકોને ઓળખી બતાવવાના હતા. આવા એક પ્રખ્યાત અભિનેતાને ખાખરા બહુ ભાવે છે. અવાજ પરથી જ ખબર પડી ગઈ કે આતો અમિતાભ બચ્ચન છે. બીજા એકને કેરીના છુંદા(મુરબ્બો) વગર ચાલે નહિ. કોઈ એનો અવાજ ઓળખી શક્યું નહિ. લગભગ બધા ફિલ્મી નાયકોના નામ બોલાઈ ગયા પણ સાચું પડે નહિ. છેવટે ધ્વનીતે જ કહેવું પડ્યું તે ભાઈ હતા નીલ નીતિન મુકેશ. સ્વ.મુકેશ વડોદરાના જમાઈ હતા. એમના પત્ની ગુજરાતી હતા.  ધ્વનીતે ખૂબ મજા કરાવી. પ્રેમ ચોપરાના જમાઈ અને થ્રી ઇડિયટમાનો એક ઇડિયટ સરમન જોશી અને પાર્થિવ પટેલના ઇન્ટરવ્યું પણ લેવાયા. સહેવાગે એકવાર આ પાર્થિવ પટેલ પાસે સેવિંગ ક્રીમ માંગેલી. પાર્થિવ કહે હું હજુ દાઢી કરતો નથી. પાર્થિવ બહુ નાની ઉંમરે ક્રિકેટ ટીમમાં આવી ગયેલો, દાઢી ઉગી હોય તો કરે ને?

 

ત્રીજા દિવસે એટલે રવિવારે તો દિલીપભાઈ મને લેવા આવી ગયા જ હતા. અમે સ્થળ પર પહોચ્યા ત્યારે ભજન સંધ્યા ચાલુ જ હતી. દસ હજાર માનવો એક જ હોલમાં બેસવાના હોય ત્યાં સારી અનુકૂળ સીટ મેળવવાનું મુશ્કેલ બની જતું હોય છે. અમે બેઠાં હતા અને મારા નામની કોઈએ બૂમ પાડી. મેં પાછળ વાળીને જોયું તો મિત્ર જગદીશ ક્રિશ્ચિયન. એમણે સ્માર્ટ ફોનમાં ફોટો પાડીને ફેસબુકમાં તરત મૂકી પણ દીધેલો. થેંક યુ વેરી મચ જગદીશભાઈ.

આપણી ધર્મભીરુ પ્રજા માટે આવા ભવ્ય પ્રોગ્રામ સંત, સાધુ અને ગુરુઓની હાજરી વગર શોભે નહિ, અધૂરા લાગે તે સ્વાભાવિક છે. સંતશ્રી હરિપ્રસાદ સ્વામીના સાંનિધ્યમાં સરસ મજાના ભજનો ગવાતા હતા. એમણે પણ એમનું વક્તવ્ય આપ્યું. મોરારીબાપુની હાજરી તો ત્રણે દિવસ હતી.. ગુજરાતીપણું શું કહેવાય? એના વિષે મોરારીબાપુએ સરસ પરિચય આપ્યો. મોરારીબાપુનો પરિચય આપવાનો હોય ખરો? પણ ફોર્માલીટી અપનાવવી પડે. એમનો પરિચય આપવા જય વસાવડા આવ્યા. ગુજરાતીપણા વિષે એમણે જોરદાર ભાષણ આપ્યું. તાળીઓ પાડવા મજબૂર કરી ના દે તો જય વસાવડા નહિ. મોરારીબાપુએ સરસ માહિતી આપી કે ૧૨૦ વર્ષ પહેલા ૬૬ ગ્રેટ ગણાતા ગુજરાતીઓ વિષેનો પરિચય આપતું પુસ્તક છપાયેલું. કે તે સમયે આત્યારના જેવા પ્રિન્ટિંગ મશીનો હતા નહિ. જાતે બ્લૉક ગોઠવી મૅન્યુઅલ પ્રિન્ટીગ થતું હતું. ગુજરાતના થઈ ગયેલા મહાન પુરુષો વિષે બાપુ ખૂબ સુંદર બોલ્યા. પણ ગાંધીજી વિષે બોલતા એમણે બહુ મોટું ગપ્પું મારી લીધું કે ગાંધીજી કોઈ રાજકારણી હતા જ નહિ એ તો આધ્યાત્મિક મહાપુરુષ હતા. ખરેખર તો ગાંધીજી નખશિખ રાજકારણી હતા અને અધ્યાત્મિક મહાપુરુષ બનવાનો ટ્રાય કરતા હતા. ઘણીવાર શબ્દોના જાદુગર લોકો વડે આવા ગપ્પા મરાઈ જતા હોય છે. બહુ સીરીયસ લેવું નહિ.

રંગીલાના રંગીલા લેખક સંજય છેલ આવ્યા. બોલીવુડના ઇતિહાસમાં અગણિત ગુજરાતીઓનું મહત્વનું પ્રદાન રહેલું છે. ઘણીબધી ના જાણતા હોઈએ તેવી માહિતી સંજય છેલે આપી. બોલીવુડની શરૂઆત થઈ દાદા સાહેબ ફાળકેથી, આ ફાળકે સાહેબને પૈસા ધીરનારા હતા સર ચંદુલાલ શાહ. મધર ઇન્ડિયા જેવી ક્લાસિક ફિલ્મના ડાયરેક્ટર હતા મહેબુબખાન. ગણ્યા ગણાય નહિ તેટલા કલાકારો, કસબીઓનું મહત્વનું પ્રદાન ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં રહેલું છે. ખુદ સંજય છેલ્ કેટલાય નામો ઉલ્લેખવાના ભૂલી ગયા હતા. એમાંનું એક નામ ભૂલી ગયા હતા તે હતા આશા પારેખ…

કવિ સંમેલન શરુ થયું. મોરારીબાપુ સાહિત્યના રસિયા એટલે કવિ સંમેલન પૂરતા હાજર રહેલા. સંચાલન કવિશ્રી તુષાર શુકલે કરેલું. તુષાર શુક્લ મિતભાષી, મીઠો અવાજ, એકદમ નરમ અને નમ્ર લાગે. સમય બહુ બગાડે જ નહિ. પોતાની રચનાઓ કે બીજાની શેરો શાયરી વચમાં વચમાં ફેંકવાની આવા કવિ સંમેલનોના સંચાલકોની બૂરી આદતથી જોજન દૂર લાગ્યા. બધા કવિઓના નામ યાદ નથી પણ રઈસ મણિયાર, મુકેશ જોશી, કૃષ્ણ દવે, અનિલ જોશી, ચંદ્રકાંત શાહ જેવા કવિઓ એમની કૃતિઓ રજૂ કરતા હતા. પ્રથમ બધાની એક એક રચના રજૂ કરવાની હતી, કેમકે મોરારીબાપુને જવાનું હતું. એમના ગયા પછી ફરી એકવાર બધાની કૃતિઓ રજૂ થઈ. રઈસ મણિયાર અને મુકેશ જોશી ખૂબ હસાવે.

આજે જય વસાવડાનું મોટાભાગનું લેક્ચર ચૂકી જવાયું કે ભાઈ અમે પેટપૂજા કરવા ગયેલા. જયભાઈ સ્ત્રીઓ વિષે બોલતા હતા. આજની સ્ત્રી હોશિયાર છે. પણ મને ખબર છે કે જયભાઈ વેલ બેલેન્સ્ડ બોલવા ટેવાયેલા છે. સ્ત્રી પુરુષની ખૂબીઓ સાથે ખામીઓ પ્રત્યે પણ અંગુલીનિર્દેશ કર્યા વગર રહે નહિ. કારણ સ્ત્રીઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવવાની લ્હાયમાં પુરુષોની વેદના કોઈને દેખાતી નથી. પતિઓ વડે પીડાતી સ્ત્રીઓની કથા આખી દુનિયા જાણશે પણ પત્નીઓ વડે ત્રાસ પામતા પુરુષોની કથા કોઈ નહિ જાણે. જયભાઈએ કહ્યું કે દુનિયાની બધી શોધખોળો સર્જન પુરુષો કરતા હોય છે પણ પુરુષનું સર્જન સ્ત્રી કરે છે….તાળીઓ ચાલુ….પણ મારે પૂછવું હતું સ્ત્રીનું સર્જન કોણ કરે છે?? પણ હું ખૂબ દૂર બેઠેલો હતો, એટલે પૂછી ના શક્યો. સ્ત્રીપુરુષ બંને ભેગાં મળીને સ્ત્રી અને પુરુષનું સર્જન કરે છે.

પછી આવ્યા બોલ્ડ ગુજરાતી લેખિકા તરીકે પંકાતા કાજલ ઓઝા વૈદ્ય. એમની વક્રોક્તિ  ઉપર પુરુષોથી તાલીઓ પડાય એવા ટોણા મારી મારીને તાળીઓ મેળવી ખરી. જોકે આ બધા તાળીઓ મેળવવા માટે બોલતા હોય છે તેવું પણ નથી. એમના વક્તવ્યો જ એવા હોય કે તાલીઓ પાડવાનું મન થઈ જાય. કાજલ ઓઝાનું કહેવું હતું કે સ્ત્રી આખો દિવસ ગમેતેટલી ફરિયાદો કરશે પણ પછી ફોન કરીને પૂછશે દવા ખાધી?  આજ સ્ત્રી આખો દિવસ કંટાળીને આવીને જમવા બેઠેલાં પતિના ભાણામાં ગરમ રોટલી સાથે કકળાટના કચૂમ્બરમાં મહેણાંના મસાલા મારી મારીને પણ પીરસતી હોય છે તે કહેવાનું કાજલ ઓઝા ભૂલી ગયા.

વુમન એક્ટીવીસ્ટ મહિલાઓના પતિદેવોના ઇન્ટરવ્યું પણ કોઈએ લેવા જોઈએ.

કાજલ ઓઝાનું કહેવું હતું કે સ્ત્રી એના કામ પ્રત્યે ફોકસ હોય છે. એક કામ એક સમયે ખૂબ ધ્યાનથી કરતી હોય છે. એમનું કઈ રીતે આવું માનવું છે હું સમજ્યો નહિ. ફેમસ લેખકો બધું સત્ય કહેતા હોય તેવું માની  લેવું નહિ. બાકી સત્ય એ છે કે સ્ત્રી ફક્ત એક કામ પ્રત્યે ફોકસ હોતી નથી. એક સાથે અનેક કામ કરવા ટેવાયેલી હોય છે.સવારે જાગીને સ્ત્રીને એક સાથે અનેક કામ કરવા પડતા હોય છે. બાળકોને તૈયાર કરવા, એમના નાસ્તા વગેરે કરાવીને સ્કુલે મોકલવાના, સાથે સાથે પતિદેવને કદી ના જડતા મોજા શોધી આપવાનાં. સાસુ સસરા હોય તો એમનું સેવા સગવડનું કામ પણ જોડે જ ઊભું હોય. આવા તો અનેક કામ એક સાથે એક સમયગાળામાં કરવાના હોય છે. સ્ત્રી ગેસ પર દૂધ મૂકીને બીજા કામે વળી જતી હોય છે અને કાયમ દૂધ ઊભરાઈ જતું હોય છે. ૧૦૦માંથી ૯૫ સ્ત્રીઓના ગરમ કરવા મુકેલા દૂધ ઊભરાઈ જતા હશે.  સ્ત્રી ટાઈમ કોન્શિયસ હોતી નથી. કોઈ પ્રસંગે જવાનું હોય તો એની ટાપટીપ જલદી પૂરી થાય જ નહિ, ભલે પતિદેવ ગુસ્સે થતા તૈયાર થઈને કલાકથી રાહ જોતા હોય. આમ એક રીતે ગણીએ તો સ્ત્રીને મલ્ટી ફોકસ બનવું પડતું હોય છે. અને એટલે જ ફોકસ હોતી નથી. અને એટલે જ બધી શોધખોળો અને રિસર્ચ મોટાભાગે પુરુષો જ કરતા હોય છે. છતાં અપવાદ બધામાં હોય. જેનું ગેસ પર ગરમ કરવા મૂકેલું દૂધ ના ઊભરાય તેને પણ અપવાદ ગણવો….સોરી કાજલ ઓઝા વૈદ્ય….

ધ્વનીતને આજે જલસો પડી ગયો કે પ્રાચી દેસાઈ આવી હતી. એને સ્ટેજ પર બોલાવીને એની સાથે મસ્તી મજાકમાં લાઈન મારવા પણ મળી ગયું હતું. પ્રાચીએ કહ્યું પણ ખરું કે મારી મમ્મી તો સાથે જ છે તમારી મમ્મી સાથે લાવ્યા છો? મને લાગે છે મહિના સુધી ધ્વનીતને ઊંઘ નહિ આવે. પ્રાચી મૂળ સુરતની છે. પંચગનીમાં ઊછરેલી અને મુંબઈમાં રહેતી પ્રાચીની મોમ પણ ખૂબ રૂપાળી છે. પ્રાચીના પપ્પાની મને તો જેલસ થાય છે. કશું બળવાની વાસ આવી??  મને પ્રાચી કરિશ્મા અને કરીના કરતા પણ વધુ સુંદર લાગી.

ધૃતિ અમીનના પુસ્તક “પંચાત” નું વિમોચન કરવામાં આવ્યું. બાજુવાળા ભાઈએ મને પૂછ્યું આ પંચાત પુસ્તકમાં શું લખ્યું હશે? મેં કહ્યું કોઈની પંચાત કરવી નહિ એવું લખ્યું હશે, તો એ ભાઈ હસી પડ્યા.

આઈના સંસ્થા કોઈ એકાદ પક્ષ સાથે જોડાયેલી હોય તેવું નથી, એને માટે બધા રાજકીય પક્ષો સરખાં છે. માટે કૉંગ્રેસ હોય કે ભાજપ બંને પક્ષના નેતાઓ અહીં બોલાવાતા હોય છે. પ્રથમ દિવસે વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે એમનું વક્તવ્ય આપેલું હતું. એમાં કશું અજુગતું નહિ હોય કોઈએ વિરોધ કરેલો નહિ. બીજા દિવસે મેં જણાવ્યું તેમ મોદી સાહેબનું લાઇવ ભાષણ વિડીયો કૉન્ફરન્સ દ્વારા હતું. અને ત્રીજા અંતિમ દિવસે ફરી પાછાં શક્તિસિંહ બોલવા ઉભા થયા. શક્તિસિંહે લોકોને એક સવાલ પૂછ્યો. એવા કયા સત્તાધીશની નગરી સોનાની હતી? લોકોએ બુમો પાડી જવાબ આપ્યો ‘રાવણ..રાવણ’. હવે એમનું કહેવાનું શરુ થયું કે જેની નગરી સોનાની હોય તો એનો વિકાસ થયેલો ખૂબ કહેવાય કે નહિ? નરેન્દ્ર મોદી કાયમ વિકાસની વાતો કરતા હોય છે, બસ લોકો સમજી ગયા કે શક્તિસિંહનો ઇશારો મોદી સામે છે. શક્તિસિંહ નરેન્દ્ર મોદી એવો શબ્દ પણ બોલ્યા નહોતા. લોકોએ બુમો પાડવાનું અને વિરોધ દર્શાવવાનું શરુ કરી દીધું. શક્તિસિંહ આગળ બોલી શક્યા જ નહોતા એટલી બધી બુમાબુમ થતી હતી. એ બોલવાનું શરુ કરે કે મિત્રો…પણ આગળ કોઈ બોલવા દેવા માંગતું નહોતું. છેવટે સુનીલ નાયક આગળ આવ્યા અને એમને  દોરીને લઈ ગયા. થોડી અફડાતફડી મચી ગઈ. ધ્વનિત, તુષાર શુક્લ વગેરે વારંવાર બે હાથ જોડીને શાંત થઈ જવા અને બેસી જવા અપીલ કર્યા કરતા હતા. સુનીલ નાયકે આવીને નાનકડું હૃદયસ્પર્શી વક્તવ્ય આપ્યું ત્યારે લોકો શાંત પડ્યા. એકાદ ચપ્પલ કોઈએ કદાચ ફેંક્યું હશે બાકી ના કોઈ ચપ્પલનો વરસાદ વરસ્યો હતો કે શક્તિસિંહ એવા શબ્દો બોલ્યા જ નહોતા કે મોદી રાવણ છે એનો સંહાર થવો જોઈએ. ગુજરાતમાં છાપાવાળાઓએ ગમેતેમ મસાલા ભભરાવી છાપી નાખ્યું છે.

લોકશાહીમાં દરેકને એનો અવાજ રજૂ કરવાની સ્વતંત્રતા હોય છે. મોદી હોય કે શક્તિસિંહ છોને એ લોકો જે બોલે તે, સમજવાનું અને અમલમાં મૂકવાનું આપણે આપણી બુદ્ધિ વડે હોય છે. જેને મહેમાન તરીકે બોલાવ્યા હોય તેની સાથે ગેરવર્તન કરવું જરાય વાજબી ના કહેવાય. શક્તિસિંહે સમજવાનું હતું કે આ પ્લેટફોર્મ આવી વાતો કરવા માટેનું યોગ્ય નહોતું. એ વિવેક ચૂક્યા તેમ લોકો પણ વિવેક ચૂક્યા. માટે હું કાયમ કહેતો હોઉં છું કે એવેરેજ ભારતીય તર્ક અને બુદ્ધિ વડે વિચારતો જ નથી. લાગણીઓના પુરમાં તણાઈને મૂરખ બનતો હોય છે. ૯-૧૧ વિષે માઈકલ મુરે એક ડોક્યુમેન્ટરી બનાવેલી. એમાં એક વૃદ્ધ અમેરિકન શ્વેત કાકાશ્રીનો ટૂંકો ઇન્ટરવ્યું હતો. કાકાશ્રી વદતી અવર પ્રૅસિડેન્ટ ઇઝ બીગ એસ હોલ…આ ડોક્યુમેન્ટરી બહુ ફેમસ બનેલી અને લગભગ દરેક અમેરિકને  જોઈ હશે. માજી પ્રમુખ બુશશ્રીએ પણ જોઈ હશે. સાથે એમને દેવાયેલી સ્વસ્તિ પણ સાંભળી જ હશે ને?? અને ખૂબ હસ્યા પણ હોવા જોઈએ….

મંથન સંસ્થાની અપંગ કન્યાઓએ જબરદસ્ત કહેવાય તેવા રાસ ગરબા અને નૃત્યો રજૂ કર્યા. આમેય આપણા લોકોને દીકરો અવતરે તો હરખની હેલી ચડતી હોય છે અને દીકરી અવતરે તો મોઢું કટાણું થઈ જતું હોય છે. એમાંય દીકરી અપંગ હોય તો એની શું હાલત થાય? આવી અપંગ દીકરીઓની એક માતા છે એનું નામ ‘મંથન’ સંસ્થા, અને સવાઈ માતા છે નીરૂબેન. કેટલીક કન્યાઓતો જરાય ચાલી ના શકે તેવી અપંગ હતી. આ બાળાઓના ગજબના પરફોર્મન્સથી ફરી એકવાર ઇમોશનલ થઈ જવાયું.

બે દિવસથી બપોરના એકથી મોડી રાત સુધી આવી રીતે સળંગ બેસી રહેવાનું અઘરું હતું. અંતે અમે પ્રોગ્રામ પૂરો થાય તે પહેલા ભાગી છૂટ્યા. પ્યારાં મિત્રો જેટલું યાદ રહ્યું તેટલું લખ્યું છે. કાર્યક્રમોની ભરમાર એટલી બધી હતીકે ના પૂછો વાત. બધાનું વર્ણન કરવું અશક્ય છે. બહાર અમદાવાદની માંડવીની પોળનું આબેહૂબ દ્ગશ્ય ઊભું કરેલું હતું ત્યાં ફોટા પાડ્યા. એક રિક્ષા મૂકેલી હતી એમાં પણ ફોટા પાડ્યા. દુનિયાના વન ઑફ ધ મોસ્ટ હેપી કપલના ફોટા પાડ્યા, અને એમના કૅમેરામાં પાડી પણ આપ્યા. એમની સાથે ક્ષણના સંબંધમાં આત્મીયતા ભળી ગઈ. ગુજરાતીપણાની આજ ખૂબી છે. ગુજરાતી જલદી વિશ્વાસ મૂકી દે છે. આ ખૂબી ક્યારેક છેતરાઈ જવા માટે પણ કારણભૂત બની જતી હોય છે. આત્મીય બનવાનું ગુજરાતીને શીખવવું પડે નહિ.

રાજા તરીકે રામ, રાવણ, યુદ્ધિષ્ઠિર અને દુર્યોધન તમામ શ્રેષ્ઠ હતા. એમની પ્રજા દુખી નહોતી. જે પ્રૉબ્લેમ હતા તે એમના પર્સનલ હતા. લંકા સોનાની હતી કે નહિ કોણ જાણે? મોદી રાવણ હોય કે રામ, શક્તિસિંહ કે શંકરસિંહ રાવણ હોય કે રામ, આઈ ડોન્ટ કેર..મને તો મારી વહાલી ગુજરાત સોનાની જોઈએ..સોનાની જોઈએ..સોનાની જોઈએ…   

જીવન ઝરણું કલકલ વહેતું, દુઃખ શાને મુજમાં વસતું?

images[2] (7)જીવન ઝરણું કલકલ વહેતું, દુઃખ શાને મુજમાં વસતું?

આપણને ઘણીવાર અનુભવ થતા હોય છે કે જેને આપણે ખૂબ પ્રિય ગણાતા હોઈએ છીએ તે જ દુઃખનું કારણ બનતા હોય છે. આપણી લાગણીઓ એમના દ્વારા ઘવાતી હોય છે. કોઈ સ્વજનનું ઓચિંતું મૃત્યુ અથવા પ્રિયજનની બેવફાઈ કે જુદાઈ આપણને વિશ્વાસઘાતની લાગણીમાં ફેંકી દે છે. આવું અનેક વાર બનતા આપણે લોકોમાં વિશ્વાસ મૂકતા બંધ પણ થઈ જઈએ છીએ. મેં ઘણા સંબંધીઓ જોયા છે જેઓ પોતાના અંગત લોકો પર અને ઘણીવાર તો પોતાના પેટના જણ્યા પર પણ વિશ્વાસ મૂકી શકતા નથી. લગભગ અવિશ્વાસુ પ્રકૃતિના અનેક માણસો આપણને લાઇફમાં જોવા મળતા હોય છે. આ વિશ્વાસ સાથેના સ્ટ્રગલ અને દુઃખની પાછળનું એક મૂળ કારણ તાદાત્મ્ય-અટૅચમન્ટ છે.

Don’t Fight Life, Flow with it.

જીવન એક વહેતી  નદી છે, કલકલ કરતું વહેતું ઝરણું છે. મોટાભાગે તો આપણે આ નદીના પ્રવાહમાં તરતા હોઈએ છીએ, વહેતા હોઈએ છીએ. અને વહેવાની મજા માણતાં હોઈએ છીએ. પણ ક્યારેક આ મુસાફરીમાં કોઈ ચોક્કસ પૉઇન્ટ પર તાદાત્મ્ય સાધીને ઉભા થઈ જઈએ છીએ અને જરા પણ ખસવાનો ઇનકાર કરી દઈએ છીએ. કુદરતી પ્રવાહમાં વહેવાનો ઇનકાર કરીને લડાઈ શરુ કરી દઈએ છીએ. અહીં દુઃખની શરૂઆત થઈ જાય છે. જીવન લડવા કરતા એની સાથે વહેવામાં દુઃખની માત્રા ઓછી થતી જાય છે આવું મહત્વનું લેસન શીખવે છે મેડિટેશન.

જ્યારે તમારી આંખો બંધ હોય, કુદરતી શ્વાસ ઉચ્છવાસ ચાલતા હોય, કોઈ આસ્તિક હોય તો મંત્ર બોલતા હોય કે પ્રાર્થના કરતા હોય, બુદ્ધ જેવા કોઈ કહેવાતા નાસ્તિક હોય તો ફક્ત આ પ્રક્રિયાને જોતા હોય, વિચારો આવતા અને જતા હોય છે….સહેલું લાગે છે પણ અઘરું છે. ઘણીવાર આપણે આવેલા વિચારોની વેબમાં ગૂંથાઈ જઈએ છીએ. વિચારોની વેબસાઇટ ગજબની માયા છે. ક્યારે અંદર સામેલ થઈ જઈએ યાદ પણ ના રહે. અને ઘણીવાર પાછાં સચેત થઈને નિરીક્ષણ કરવા લાગતા હોઈએ છીએ. પણ બંને વખતે આપણે શ્વાસોચ્છ્શ્વાસ  પર પાછાં આવી જતા હોઈએ ત્યારે લાંબા સમયે ભાન થાય છે વર્તમાન ક્ષણનું, ઑલ ઇઝ વેલ..

જ્યારે આપણે કોઈ વ્યક્તિ, વિચાર, કે પછી વસ્તુ સાથે મજબૂત રીતે જોડાઈ જઈએ છીએ ત્યારે આપણે ઇચ્છાઓ વધી જાય છે, આપણે તે ક્ષણને વધુ લંબાવા માંગતા હોઈએ છીએ કે પછી ડરવા લાગીએ છીએ. આ ઇચ્છા અને ભય દુઃખનું કારણ બનતી  હોય છે. દાખલા તરીકે આપણે કોઈ પ્રિયજન સાથે બેઠાં હોઈએ કે જેની સાથે આપણે પ્રેમમાં હોઈએ, અને એકબીજાનું સાંનિધ્ય માનતા હોઈએ ત્યારે ઇચ્છા જાગે કે આનો અંત આવે જ નહિ.  કઈ રીતે આ ક્ષણોને લંબાવી દઉં? મેડિટેશન વર્તમાનની ક્ષણોમાં ગૂંથાઈ જવા મદદ કરે છે. આપણે પ્રિયજન બાજુમાં હોય છતાં ભૂત કે ભવિષ્યમાં ઊતરી જતા હોઈએ છીએ. આપણે જાણતા હોઈએ છીએ કે આ ક્ષણો કાયમ ટકવાની નથી છતાં એમાંથી સંપૂર્ણ વર્તમાનનો આનંદ માનવાનું મેડિટેશન શીખવે છે. જીવન સદાય વહેતું છે.

હવે જ્યારે કોઈ દુઃખ પહોચાડે ત્યારે પણ દુઃખની લાગણીઓ પણ વહેતા ઝરણામાં વહી જવાની છે, પણ આપણે એની સાથે તાદાત્મ્ય બાંધી લઈએ જોડાઈ જઈએ તો આ દુઃખની ઘડીઓ  લંબાવી દઈએ છીએ.  બસ આ દુઃખની ક્ષણો સાથે મજબૂતાઈથી ના જોડાઈ જઈએ તો દુઃખની લાગણી પણ ઓછી થતી જવાની. પણ જે બન્યું છે એની સાથે જોડાયેલા રહીએ તો દુઃખ વધતું જવાનું અને આપણે ડરના માર્યા જેતે વ્યક્તિ વિષે અવિશ્વાસ વધારતા જવાના. લાંબા ગાળે આપણે કોઈના પર વિશ્વાસ રાખી શકતા નથી.

જો આપણે નિયમિત આ શ્વાસ ઉચ્છવાસ પ્રત્યે જાગૃત રહેવાનું ધ્યાન નિયમિત કરીએ તો આપણે જોઈ શકીએ કે વિચારો સતત આવતાજતા હોય છે. કોઈવાર ગ્રેટ અનુભવ થતો હોય અને કોઈવાર ઉદાસ. આમ શીખવા મળે કે લોકો પણ કોઈવાર પ્રેમ કરતા હોય છે અને કોઈવાર નફરત. જે પણ સારી કે ખરાબ ક્ષણો છે તે ઊભી રહેવાની નથી. જો સારી કે ખરાબ પળો  ટકવાની નથી તો પેલો ભય પણ શું કામ રાખવાનો? કોઈ ચોક્કસ અનુભવ પ્રત્યે તાદાત્મ્ય સાધ્યા વગર  જીવનમાં ખુલ્લાપણું રાખવાનું મેડિટેશન શીખવે છે. ધારોકે કોઈએ આપણને ઈજા કરી કે ઇમોશનલ હર્ટ કર્યું, તો આપણે તે દુઃખદાયી યાદોમાં રત રહેવાને બદલે એમાંથી શીખી શકીએ કે આમ કેમ બન્યું? આપણા ખુલ્લાપણા કે અવેરનેસ વડે આપણી જાતને પૂછી શકીએ કે આ વ્યક્તિ આપણને હર્ટ  કરે તે પહેલા એનો કોઈ સંકેત મળેલો ખરો?

અવેરનેસ વડે આપણે આપના ભૂતકાળના અનુભવો વડે શીખી શકીએ અને દુઃખ નિવારણ તરફ પણ વધી શકીએ. અવેરનેસ વડે ભય વગર હિંમતથી આપણે જે બનવાનું છે તેનો સામનો કરી શકીએ. જીવનમાં કંઈક નવું આવે તો સાથે એના રિસ્ક પણ લેતું આવે. એનો સ્વીકાર કરવાની અવેરનેસ જોઈએ જ.

મેડિટેશન કોઈ દુઃખ નહિ આપે તેવી વેક્સિન તો છે નહિ. દુઃખદાયી અનુભવો પણ જીવનનો એક ભાગ જ છે. મેડિટેશન વડે આપણે પોતાની જાતની કેર કરતા અને પોતાની જાતને ચાહતા શીખી જઈએ છીએ. આપણે જેવા છીએ તેવા આપણી જાતને ચાહતા થઈએ તો બીજાને પણ પ્રેમ કરતા વધુ સારી રીતે થઈ શકીએ.

મેડીટેશન શીખવે છે કે સુખી થવાની તમામ શક્યતાઓ આપણી અંદર જ મોજૂદ છે. જ્યારે અપને વર્તમાનમાં જીવતા હોઈએ ત્યારે ઑલ ઇઝ વેલનો બેલ વાગતો હોય છે. આમ આપણે ભય અને ઇચ્છાઓ સાથે તાદાત્મ્ય વધારવાનું ઓછું કરવાનું  ધ્યાન વડે શીખી શકીએ છીએ.

એક નદીમાં તમે બીજી વાર પગ મૂકી શકતા નથી. જીવન પણ એક વહેતી નદી જેવું છે જે સતત બદલાયા કરતું હોય છે. મેડીટેશન આ નદીમાં વચ્ચે આવતી તમામ વસ્તુઓનો સ્વીકાર શીખવે છે. આપણે વિશ્વાસ મૂકતા શીખી જઈએ છીએ કે કાયમ બધું સારું થાય તેવું જરૂરી નથી, પણ ગમે તે થાય હું તો હંમેશા ખુશીમાં જ રહીશ. મેડીટેશન જીવન ઝરણામાં વહેતા શીખવે છે, એમાંથી આનંદ મેળવતા શીખવે છે. અને વર્તમાનમાં શ્વાસ સાથે જીવતા શીખવે છે.

 

 

જે પોષતું તે મારતું, જે મારતું તે ક્યારેક પોષતું હતું.

Vicia faba: Broad Beans
Vicia faba: Broad Beans (Photo credit: pamsai)

જે પોષતું તે મારતું, જે મારતું તે ક્યારેક પોષતું હતું.

જો તમને ડાયાબિટીસ હોય તો તમે એકલાં નથી, આશરે ૧૭૧ મિલિયન લોકો ડાયાબિટીસ વડે પીડાય છે. અલ્ઝાઈમર, હાઈ કોલેસ્ટેરોલ આવા મારી નાખે તેવા રોગો કેમ થતા હશે? આવા રોગો પેદા કરતા જિન્સ genes શું કામ ઇવોલ્વ થયા હશે? એક નાની પ્લેટ fava beans ખાવાથી કોઈ મરી જાય ખરું? ભૂમધ્ય સમુદ્ર કાંઠે આવેલા દેશોમાં તો વટાણા(Fava beans )  રોજનો ખોરાક છે. Favism કોઈ એન્ઝાઈમ ( Glucose-6-phosphate dehydrogenase deficiency ) ની ઊણપથી થતો રોગ છે. fava ખાવાથી રીએક્શન આવતું હોય છે. કોઈ એવું ના સમજી કે લે fava ખાવાથી જ આ રોગ થાય છે. આ રોગ વારસાગત હોય છે. અને આ રોગ હોય તે બધાને fava ખાવાથી રીએક્શન આવે તેવું પણ નથી. આ રોગની સાઇડ ઇફેક્ટ એ છે કે મેલેરિયા સામે રક્ષણાત્મક કામ કરતો હોય છે. આપણે મેડિકલ સાયન્સના ઊંડાણમાં જવું નથી તે આપણો વિષય પણ નથી, પણ વૈજ્ઞાનિકોનું માનવું છે કે મલેરિયા સામે લડવા માટે કદાચ આ પ્રકારનું ઈવોલ્યુશન થયું હોવું જોઈએ.

ફાયદો થાય એવું હોય તેમ વિકાસ થતો હોય છે. ઉત્ક્રાન્તિના ક્રમમાં બિનજરૂરી વસ્તુઓ વિકસે નહિ. Sharon Moalem નામના ઇવોલ્યુશનરી ફીજીયોલોજીસ્ટ અને તેના પત્રકાર સાથીદારે Survival of the Sickest નામની એક જબરદસ્ત બુક લખી છે. આમાં આવી અકલ્પનીય અસંખ્ય વાતો લખી છે કે રોગો પણ કેમ ઇવોલ્વ થયા હશે?  ઘણા રોગો બાય પ્રોડક્ટની જેમ વળગ્યા છે. ઓચિંતી પડતી અતિશય ઠંડી કે હિમયુગમાંથી બચવા ઉત્તર યુરોપીયંસનાં પૂર્વજોના શરીરમાં કોઈ જીનેટીકલી ફેરફાર થયા હોય જેની બાય પ્રોડક્ટ તરીકે આજે ડાયાબિટીસ વળગ્યો છે. tree frogs પર જણાવતા આ લોકો કહે છે કે બરફની જેમ થીજાવી દે તેવી કાતિલ ઠંડીમાં આ દેડકા આરામથી બચી જાય છે, ડાયાબિટીક મેટાબોલીઝમ વાપરીને આ દેડકા સર્વાઈવ થઈ જાય છે. મેલેરિયા સામે રોગપ્રતિકારક શક્તિ મેળવવાની બાયપ્રોડક્ટ એટલે favism એવું આ વૈજ્ઞાનિકોનું કહેવું છે. Bubonic પ્લેગમાથી બચવા માટે જે જિનેટિક ફેરફાર થયા તેની બાયપ્રોડક્ટ અલ્ઝાઈમર તરીકે મળી છે.

આમ ફાયદા સાથે ક્યાંક નુકશાન પણ થયું છે. સાદો દાખલો જોઈએ તો તાવ આવે શરીરનું ટેમ્પરેચર વધી જાય તે રોગ નથી પણ શરીરમાં ઘૂસેલા હાનિકારક બેક્ટ્રિયાને મારવાની જહેમતનું પરિણામ છે. ચાલો બીજો આવો સિમ્પલ દાખલો જોઈએ. વિષુવવૃત અને તેની આસપાસ પુષ્કળ ગરમી પડતી હોય ત્યાં રહેનારા લોકોની ચામડી કાળી હોય છે. કાળી ત્વચા મતલબ કલર પીગમેન્ટ પુષ્કળ. આ કાળી ત્વચામાં સૂર્યના હાનિકારક કિરણોને અંદર પ્રવેશ કરતા તકલીફ પડવાની. જેથી ત્વચાના કેન્સર વગેરેથી બચી જવાય. હવે જ્યાં પુષ્કળ ઠંડી પડતી હોય છે તેવા ઉત્તર યુરોપના લોકો ખૂબ ગોરા હોય મતલબ કલર પીગમેન્ટ ઓછા. આવું ઈવોલ્યુશન એટલાં માટે થયું કે અહી સૂર્યના કિરણો ત્વચા પર સીધા પડે તેવી સ્થિતિનો અભાવ હોય છે, જેથી કલર પીગમેન્ટ ઓછા હોય તો સૂર્યના કિરણો જે વિટામિન ડી માટે જરૂરી છે તે પ્રવેશી શકે. અહી સહેજ તડકો પડે લોકો ખુશ થઈ જાય, આજે વેધર સારું છે. કપડા કાઢી ફરવા લાગે. બને એટલાં ઓછા કપડા પહેરે જેથી શક્ય વધુ સૂર્યના કિરણો મેળવી શકાય. હું ભારતમાં તડકાથી ત્રાસેલો, અહી મને શાંતિ લાગે. હવે આ ગોરા લોકો આફ્રિકા પહોચી જાય અને ઉઘાડા ફરવા લાગે તો સ્કીન કેન્સર થવાનો ભય વધી જાય અને કાળી ત્વચા ધરાવતા લોકોને યુરોપમાં વિટામિન ડી ની ઊણપ સતાવે, કારણ કાળી ત્વચામાં સૂર્યના કિરણો જલદી પ્રવેશે નહિ.

આપણાં પૂર્વજો જુદા વાતાવરણમાં ઇવોલ્વ થયેલા અને અત્યારે જુદું વાતાવરણ જીવવા માટે ઉપલબ્ધ છે. આ બધા ઈવોલ્યુશનરી મિસમેચનાં દાખલા છે. ઓબેસિટી પણ આવો હ્યુમન નેચર અને મૉર્ડન જમાનાનો મિસમેચ દાખલો છે. આપણાં પૂર્વજો હન્ટર ગેધરર હતા. એમને શિકાર કરીને ખોરાક મેળવવા ખુબ મહેનત કરવી પડતી. એટલે તે લોકો પુષ્કળ પોષણ ધરાવતો ખોરાક વિપુલ પ્રમાણમાં ખાઈ લેતા. ફરી ખોરાક ના મળે ત્યાં સુધી ચાલી જાય. હવે આપણી ફીજીકલ એક્ટીવીટી ઘટી ગઈ છે અને ખોરાક જૂની ટેવ મુજબ ચાલુ રહ્યો છે. ઘણા ફીજીકલ એક્ટીવીટી  વધારે તો સાથે ખોરાક પણ વધારતા જતા હોય છે.

Hadza hunter-gatherer પર થયેલા એક રિસર્ચ મુજબ આ લોકો પશ્ચિમના લોકો કરતા જરાય વધુ કેલેરી એક દિવસમાં બાળતા  નથી. આ લોકો આખો દિવસ ખુબ ફીજીકલ એક્ટીવીટી  કરતા હોય છે અને એમનું મેટાબોલીઝમ પણ ધીમું હોતું નથી. છતાં અમેરિકન્સ અને યુરોપીયંસ ખુબ જાડિયા કેમ હોય છે? મતલબ આ જાડિયા પુષ્કળ ખાતા હોય છે. મતલબ અહી હ્યુમન બોડી જેટલું ખાવા માટે ડીઝાઈન થઈ હોય તેના કરતા ખુબ ખવાઈ જાય છે. આપણી ખુબ ખાવાની તેવો બાળકોને પણ આપતા હોઈએ છીએ. અમેરિકન બાળકો ખુબ જાડા હોય છે. ઘણીવાર તો પુખ્ત માનસ કરતા પણ વધુ વજન ધરાવતા હોય છે. જાડિયા બાળકો પર થયેલા અભ્યાસ મુજબ તેઓ એમના મિત્રો સાથે હોય તો વધુ ખાતા હોય છે. એકલાં હોય તો ઓછું ખાતા હોય છે. અને મિત્રો જો પાતળા થીન હોય તો આ જાડિયા ૩૦૦ કેલેરી વધારાની ખાઈ જતા હોય છે.

હાં તો મિત્રો જે પોષતું તે મારતું અને જે મારતું તે…………

 

વેદનાનું સોહામણું સત્ય-૩

Amygdala
Amygdala (Photo credit: JSlattum)

વેદનાનું સોહામણું સત્ય-૩

ભગવાન બુદ્ધ પણ થોડા ઉપાય ક્રૉનિક પેએનના બતાવી ગયા છે તે જોઈએ.

ક્રૉનિક બૅક પેએન વિષે મારો પોતાનો અનુભવ છે કે સારા ફિઝિઅથેરપિસ્ટ પાસેથી નિયમિત કરવાની સાદી અને સરળ કસરતો શીખી લેવી જોઈએ. અને તે કસરતો નિયમિત કરવાથી ઘણો ફાયદો થાય છે. કરોડના મણકાની ગાદીઓમાં સોજા આવ્યા હોય ત્યારે આવો દુખાવો થતો હોય છે. મણકા કોઈ કારણસર સાવ નજીવા આઘાપાછી થઈ ગયા હોય અને એના લીધે નર્વ દબાતી પણ હોઈ શકે. સ્પાઇનલ કૉર્ડને લગતી કસરતો કરવાથી આમાં ફાયદો થતો હોય છે. સ્પાઇનલ કૉર્ડને બંને બાજુ સ્નાયુઓનો એક ઊભો પટ્ટો હોય છે. એને મજબૂત કરવાની કસરત કરવાથી જ્યારે કશું કામ કરીએ તો સ્પાઇનલ કૉર્ડ પર ઓછો બોજો પડે અને પેલાં સ્નાયુઓ વજન ઝીલી લે. આ બધી કસરતો કરવાથી સ્પાઇનલ કૉર્ડ મૂળ સ્થિતિમાં  આવી જવાથી દુખાવો બંધ થઈ જતો હોય છે.

આપણે આખો દિવસ આરામદાયક સોફામાં બેસતા હોઈએ, કમ્પ્યુટર પર બેસતા હોઈએ અને બીજા એવા ઘણી પોઝિશનમા કામ કરતા હોઈએ છીએ, જે સ્પાઇનલ કૉર્ડ માટે નુકસાનકારક હોય છે. માટે દુખાવો બંધ થઈ ગયા પછી પણ સ્પાઇનલ કૉર્ડને એની મૂળ સ્થિતિમાં જાળવી રાખવા આ બધી કસરતો નિયમિત કરવી જોઈએ. ગરમ પાણીથી બૅકને બરોબર શેક આપવાથી સખત થઈ ગયેલા સ્નાયુઓ ઢીલાં પડે પછી કસરત કરવી જોઈએ. સ્નાયુ અકડાઈ ગયા હોય અને કસરત કરીએ તો વધારે અકડાઈ જવાનો ભય રહે છે. જો દુખાવો વધુ થતો હોય તો આવી કસરત પછી બૅક ઉપર કોલ્ડ-પૅક મૂકવાથી ખૂબ ફાયદો થતો હોય છે.

ભારતમાં શેક કરવાનું મહાત્મ્ય વધુ છે પણ કોલ્ડ-પૅક મૂકવાનું મહત્વ લોકો સમજતા નથી. કોલ્ડ-પૅક વિષે ઘણી ગેરસમજ હોય છે. જેતે ભાગ ઉપર કોલ્ડ-પૅક મૂકવાથી ત્યાંથી લોહી હઠી જાય છે, ૧૫ મિનિટ પછી કોલ્ડ-પૅક હટાવી લેવાથી તે જગ્યાએ લોહીનો ધસારો પુષ્કળ વધી જાય છે જે હિલીંગ માટે ખૂબ ફાયદાકારક છે. બીજું કોલ્ડ-પૅક મૂકવાથી જેતે ભાગ તાત્કાલિક બહેરો બની જવાથી દુખાવાની અનુભૂતિ હંગામી રીતે ઓછી થઈ જાય છે.

મન શરીરને કંટ્રોલ કરી શકે છે. ક્રૉનિક પેએન માટે ઘણીબધી સારવાર કરાવ્યા પછી કંટાળેલા લોકો માટે માઈન્ડ કંટ્રોલ રીત અપનાવવા જેવી છે. જ્યારે આપણને કોઈ ઈજા થાય કે કોઈ આપણું અપમાન કે અવહેલના કરે ત્યારે દુઃખના સિગ્નલ સેન્સરી પાથ-વે અને ઇમોશનલ પાથવે દ્વારા બ્રેનમાં પહોચતાં હોય છે. આ દુઃખના અનુભવનું લાગણીશીલ પાસું બ્રેનના amygdale અને anterior cingulated cortex માં જતુ હોય છે. આમ માઈન્ડબૉડી ટ્રીટમન્ટ જેવી કે મેડિટેશન, યોગા આ ઇમોશનલ નેટવર્કને ઉપયોગમાં લેતી હોય છે. ચાલો સાવ મફતમાં અતિ કીમતી સરળ રીતો જોઈએ.

૧) આંખો બંધ કરી અંધારા રૂમમાં એકદમ રિલૅક્સ થઈને બેસો.

૨) ઊંડા શ્વાસ લેવાનું શરુ કરો. શરૂમાં થોડા ઝડપથી શ્વાસ લેવાના પછી ધીમે ધીમે નૉર્મલ શ્વાસ લેવા જોઈએ. કોઈ પણ જાતના પ્રયત્ન વગર નૉર્મલ શ્વાસોચ્છ્વાસ પર આવી જવાનું.

હવે થોડી કાલ્પનિક ટેક્નિક જોઈએ. એમાંથી કોઈ પણ એક અપનાવો અને નિયમિત આચરવાનું શરુ કરીએ.

૧) શરીરના દુખાવા વગરના કોઈ ભાગને પસંદ કરીને એના પર ધ્યાન કેન્દ્રિત કરો. અને જુઓ કે તમારું મન દુખાવા તરફથી બીજે તરફ ડાયવર્ટ થાય છે કે કેમ? મન આતા માજી સટકેલ જેવું હોય છે, છટકેલ હોય છે, સીધું ઠરીને બેસે નહિ.

૨) માનસિક રીતે શરીરના દુખાવાયુક્ત ભાગને બાકીના શરીરથી જુદો સમજો, અલગ પાડો. આ ભાગ મારા શરીરનો હિસ્સો નથી તેવી કલ્પના કરો.

૩) કલ્પના કરો કે દુખ દેતા ભાગને બહેરાશનું ઇન્જેક્શન મારીને કે કોઈ જાદુઈ દવા વડે બહેરો બનાવી દીધો છે.

૪) ભૂતકાળમાં મુસાફરી કરો જ્યારે કોઈ દુખાવો હતો નહિ. સાજાસમા હતા તેવો ભૂતકાળમાં જતા રહેવું.

૫) ક્રૉનિક પેએનને એક પ્રતીક આપો, દાખલા તરીકે લાઉડ મ્યૂઝિકનું અને તેનું વૉલ્યૂમ ધીરે ધીરે ઓછું કરો.

૬) કોઈ હકારાત્મક આનંદદાયક કલ્પના કરો અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરો.

૭) દુખાવા તરફથી ધ્યાન બીજે વળવા મનમાં ધીમે ધીમે ગણવાનું(કાઉન્ટ) શરુ કરો.

આમ તો આ બધું કદાચ મૂર્ખા જેવું લાગે પણ ઘણાબધાને ફાયદાકારક બનેલું છે. ખાસ તો આ પ્રૅક્ટિસ દિવસમાં ત્રણવાર ૩૦ મિનિટ કરવી જોઈએ. ઉપરની કોઈ પણ એક પ્રકારની પદ્ધતિને પકડી રાખવી. બધી પદ્ધતિઓ સાથે અપનાવવી નહિ. એકવાર આમાં માસ્ટરી આવી જશે પછી એનો ફાયદો લેતા વાર નહિ લાગે.

ઓશોએ એક દાખલો નોંધ્યો હતો- અંગ્રેજોના જમાનામાં કાશી નરેશને… બનારસ-કાશીના રાજાને એપેન્ડીક્સ થયેલું. અંગ્રેજ ડૉક્ટર ઑપરેશન કરવાના હતા.ઑપરેશન પહેલા અનિસ્થટાઇઝ તો આપવો પડે ને? કાશી નરેશે કહ્યું કે હું જાગૃત રહેવાની સાધના કરું છું માટે મારે અનિસ્થટાઇઝ લઈને બેભાન બનવું નથી. ડૉક્ટરોએ ઘણું સમજાવ્યા પણ રાજહઠ સબળ હતી. કાશી નરેશે કહ્યું મને ગીતાનું પુસ્તક આપો હું વાંચીશ અને તમે ઑપરેશન કરજો. સાચું ખોટું મને ખબર નથી કેમકે હું ત્યારે હાજર નહોતો પણ કહેવાય છે કે દુનિયાનું પહેલું અને છેલ્લું ઑપરેશન હતું જે અનિસ્થટાઇઝ આપ્યા વગર કરાયેલું. કાશી નરેશે શરીરના જે તે ભાગ પ્રત્યેથી તેમનું ધ્યાન હટાવી લીધું હશે. અઘરું છે પણ અશક્ય નથી.

એક જાત અનુભવ લખું, હસવાનું નહિ. અમે ત્રણ પિતરાઈ ભાઈઓએ ચાલતા અંબાજી સંઘમાં માણસાથી અંબાજી જવા નીકળેલા. આસો મહિનાની પૂનમે પહોચવાનું હતું. સંઘ તો બહુ મોટો હતો. છ દિવસની ચાલતી મુસાફરી હતી. બપોર સુધી ચાલવાનું પછી રસ્તામાં આવતા વડનગર, તારંગા, દાંતા જેવા સ્થળોએ રાતવાસો કોઈ ધરમશાળામાં કરવાનો. દાંતા છેલ્લું સ્ટૉપિજ હતું. ત્યાં સુધીમાં તો અમારા બધાના પગમાં ભારે દુખાવો શરુ થઈ ચૂક્યો હતો. પગમાં ફોલ્લા પડવાથી ઘણાબધા તો બસમાં બેસીને ભાગી પણ ગયેલા.

સંઘના આયોજકો તરફથી એકવાર સાંજે પાકું ભોજન મળતું. અમે તો બપોરના પહોચી ગયેલા. બપોરે રાજસ્થાની દાલબાટીની મજા માણી લીધેલી. મારા એક કઝન જરા વધુ પડતી દાલબાટી ખાઈ ગયેલા. સાંજે પાછું ચૂરમાના લાડુનું પાકું જમણ કર્યું. દાંતાથી અંબાજી નજીક હોવાથી સંઘમાંથી કેટલાક લોકો રાત્રેજ અંબાજી જવા નીકળી ગયા. અમે ત્રણ જણા પણ  રાતે નીકળી ગયા. મારા પગ ખૂબ દુખતા હતા. ઢીંચણ કામ કરતા નહોતા. બીજા કઝનની પણ એવી જ હાલત હતી અને ત્રીજા ભાઈને ખૂબ ખાધેલું તે પેટમાં ભયાનક ચૂંક આવવાની શરુ થઈ ગયેલી. છતાં અમે ચાલે રાખતા હતા.

મારા આ પિતરાઈ ભાઈ મિલિટરીમાં હતા. અંબાજીના જંગલોમાં રીંછ ફરતા હોય છે. અમે ત્રણ જણા એકલાં જતા હતા, બાકીના રાત્રે નીકળી ગયેલા સંઘના મિત્રો ખૂબ આગળ જતા રહેલા. અચાનક રસ્તાની એકબાજુ દૂર અમે રીંછ ફરતા જોયા. અમને જલદી ખ્યાલ આવ્યો નહિ પણ આર્મિમાં  જોબ કરેલી તે ભાઈ ઓળખી ગયા કે આ ટોળું રીંછનું છે. બસ અમે ત્રણ જણા જે ભગવા માંડ્યા કે આવ અંબાજી ઢૂંકડું દોઢેક કલાક ખૂબ ભાગ્યા હોઈશું. અંબાજી પહોચ્યા પછી ખયાલ આવ્યો કે મારો પગનો અતિશય દુખાવો ભાગતી વખતે ગાયબ હતો. જે ભાઈ પેટમાં દુખાવાને લીધે રોડ પર આળોટતા હતા તે પણ દોઢ કલાક માટે ઑલિમ્પિક ગોલ્ડ જીતવા જતા હોય તેમ ભાગેલા. અંબાજી આવી ગયા પછી પાછો દુખાવો શરુ થયો.

ઉપર લખેલી માઈન્ડ કંટ્રોલ પદ્ધતિઓ અપનાવી જુઓ, અઘરી છે પણ અશક્ય નથી…

વેદનાનું સોહામણું સત્ય-૨

વેદનાનું સોહામણું સત્ય-૨

ક્રૉનિક પેએન કઈ રીતે શરુ થઈ જતા હોય છે તે અંકમાં જોયું.

કમરનો દુખાવો, માથાનો દુખાવો, સાંધાનો દુખાવો વગેરે વગેરે ને ક્રૉનિક પેએનમાં બદલવાનું લગભગ આપણાં હાથમાં છે. આવા દુખાવા કવચિત દરેકને થતા હોય છે. જંગલમાં અમુક રસ્તા વપરાયા વગરના પડી રહ્યા હોય છે. પછી કાલક્રમે રસ્તા જેવું રહે જ નહિ. પણ આજ રસ્તા પાછાં વારંવાર વાપરવાનું શરુ કરી દઈએ તો સરસ મજાની પગદંડી ફરી તૈયાર થઈ જતી હોય છે. બસ આમજ વારંવાર દુખાવાની અનુભૂતિ કરવાની ટેવ પડી જાય તો દુખાવાનું ક્રૉનિક પેએનમાં રૂપાંતરણ થતા વાર લાગતી નથી.

મને પોતાને પાંચેક વર્ષ પહેલા બૅક પેએન થયેલું. સ્ટોઅરમાં મારી ઊભા રહેવાની પદ્ધતિ ખોટી હોવાથી કમરમાં દુખાવો શરુ થઈ ગયેલો. બેસવાના પણ ફાંફાં થઈ ગયેલા. ભયાનક દુખાવો થાય. ડૉકટરે રાબેતામુજબ પેએન-કિલર લખી આપી અને ફિઝિઅથેરપિસ્ટ જોડે જવાનું સૂચવી દીધું. ક્રૉનિક પેએનમાં ડૉક્ટર્સ,

૧)Opiate મેડિકેશન જેવા કે ઑક્સિકોડીન,

૨) nonsteroidal anti-inflammatory મેડિકેશન જેવા કે બૃફેન, નેપ્રોક્સિન,

 ૩) કસરત,

૪) tricyclic antidepressants,

૫) ઍક્યુપંચર

૬) ઈલેક્ટ્રિકલ સ્ટિમ્યૂલેશન વગેરે ઉપાય તરીકે સૂચવતા હોય છે. મને બૃફેન જેવી દવાની અસર ઓછી થતી હોવાથી અફીણમાંથી બનતી ઑક્સિકોડીન જે નાર્કો-પેએન કિલર તરીકે ઓળખાય છે તેવી દવા લખી આપેલી. આ દવાથી સરસ મજાનું ઘેન ચડતું. આનંદ આનંદ થઈ જાય લેવાથી. ૩૦ ટકા અમેરિકાનો ક્રૉનિક પેએન વડે પીડાતા હોય છે. અહી ડૉક્ટર્સ છૂટથી ડ્રગ જેવી દવાઓ લખી આપતા હોય છે. અને અમુક લોકો જાતેજ હેરોઇન જેવા અફીણમાંથી  બનતા ડ્રગ લેવાનું શરુ કરી દેતા હોય છે. અમુક રાજ્યોમાં મેડિકલ મૅરિહ્વાન એટલે ગાંજો, લાઇસન્સ ધરાવતી દુકાનોમાં મળતો થઈ ગયો છે.

ઑક્સિકોડીન જેવી દવાઓનો  પ્રૉબ્લેમ એ થાય કે તેની ટેવ પાડવા માંડે પછી દુખાવો બંધ કરવા મોટો ડૉસ લેવો પડે અને તમે ડ્રગ ઍડિક્ટ બની જાવ. માઈકલ જેક્શન અને વ્હીટની આમાં જ દેવ થઈ ગયા. તે સમયે મારા ફિઝિઅથેરપિસ્ટ બહેન નિરાલી પટેલ હતા. તેમણે મને સરસ કસરત બતાવેલી. કમરનો ક્રૉનિક દુખાવો રોજની ફક્ત દસ મીનીટની કસરત વડે મટાડી શકાય છે. કમરના ભાગે સ્નાન કરતી વખતે ગરમ પાણી વધારે પડવા દઈ, સ્નાન કર્યા બાદ ફક્ત દસ મિનિટ કસરત કરી લઈએ તો કદી કમરના દુખાવા માટે દવા લેવી નો પડે તે મારો જાત અનુભવ છે. શારીરિક દુખાવાને નાબૂદ કરવો સહેલો છે, પણ માનસિક રીતે ક્રૉનિક પેએનમાં તબદીલ થયા પછી એનો ઉપાય અઘરો થઈ પડે છે.

શરીરમાં જ્યાં ઈજા થઈ હોય તે અસર પામેલા ભાગની અંદર રહેલા નર્વ સેલ ઇલેક્ટ્રિકલ સિગ્નલ બ્રેનને મોકલવાના શરુ કરી દેતા હોય છે. આ ઇલેક્ટ્રિકલ સિગ્નલનું નિયમન ખાસ પ્રકારના gene દ્વારા થતું હોય છે. આ જીનને બ્લૉક કરી દેવાથી નર્વ સેલ દ્વારા થતા ઇલેક્ટ્રિકલ સિગ્નલના ઝબકારાનું પ્રમાણ ઓછું કરી શકાય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકો આના ઉપર પ્રયોગ કરી રહ્યા છે. જિનેટિકલી એન્જિનિઅર્ડ ઉંદરોમાં પેએન સેન્સિટિવ ન્યુરૉન્સમાં HCN2 જીન નાબૂદ કરી નાખેલો. નૉર્મલ ઉંદરો ઠંડી, ગરમ વસ્તુ અડતા ત્વરિત પ્રતિક્રિયા કરતા પણ HCN2 gene વગરના ઉંદરો બધું લાંબા સમય સહન કરી લેતા. HCN2 બ્લૉકર માર્કેટમાં આવતા બીજા દસ વર્ષ લાગશે.

વધુ પડતું વજન ક્રૉનિક પેએનમાં વધારો કરતું હોય છે. કસરત કરો, વજન ઘટાડો.  મજબૂત સ્નાયુ દર્દ આપતા સાંધાઓને વધુ સારી રીતે સહી શકે છે. જરૂર જણાય ત્યાં પેએન કિલર લેવી પડતી હોય છે. સરસ મજાની ઊંઘ દુખાવામાં રાહત પમાડે છે. ક્રોનિક પેઇન વડે પીડાતા લોકો પોતાને એકલાં પડી ગયા હોય તેવું  અનુભવતા હોય છે. મનની અસર શરીર ઉપર પડતી હોય છે અને શરીરની મન ઉપર. ડિપ્રેશનનાં લીધે  ક્રૉનિક પેએન, ડાયબીટિઝ, ઓબેસિટી, હાર્ટ ડિઝીઝ, અડિક્શન વગેરે થવાની શક્યતા વધતી હોય છે. ક્રૉનિક મેન્ટલ સ્ટ્રેસ, મસલ પેએનમાં વધારો કરે છે.

Fibromyalgia અને rheumatoid arthritis વગેરેમાં ચેરિ, સોયાબીન, ઑરિન્જ, ક્રૅન્બરિ, કૉલિફ્લાઉઅર, કિવિ બધા ફાયદાકારક છે. જ્યારે ચૉકોલટ, ઈંડા, માંસ, ઘઉં, મકાઈ, વગેરે સોજા વધારી દુખાવો વધારી મૂકે છે. ચેરિમાં anti-oxidants હોય છે જે સોજાને ઉતારે છે. બીજું એમાં melatonin નામનું હૉર્મોન હોય છે જે માનવ શરીરમાં pineal gland માં બનતું હોય છે. જે સારી ઊંઘ લાવતું હોય છે. સારી ઊંઘ મતલબ ઓછું પેએન.

ભગવાન બુદ્ધ પણ થોડા ઉપાય ક્રોનિક પેઈનના બતાવી ગયા છે તે પછી બીજા અંકમાં જોઈશું.

વેદનાનું સોહામણું સત્ય-૧

વેદનાનું સોહામણું સત્ય-૧

વેદનાનું સોહામણું સત્ય

તન અને મનની પીડા, દર્દ, વેદનાનો અનુભવ દરેકને થતો હોય છે. શરીરના કોઈ ભાગને ઈજા થાય ત્યારે દર્દ થતું હોય છે, પીડા થતી હોય છે.આ પીડા હંગામી હોય છે અને ઘણાને કાયમી થઈ જતી હોય છે. માથાનો દુખાવો, કમરનો દુખાવો જેવા દુખાવા હઠીલાં હનુમાનની જેમ કાયમી સ્વરૂપ ધારણ કરી લે ત્યારે એને આપણે Chronic pain કહીએ છીએ. લગભગ ૩ કરોડ અમેરિકાનો આવા કાયમી હઠીલાં દુખાવાથી પીડાતા હોય છે. ઉપાય મુશ્કેલ છે, છતાં લાગણીઓ, સહાનૂભુતિ અને ક્યારેક સેક્સ એની તીવ્રતાને ઓછી કરવામાં સહાયભૂત બને છે.

દર્દ, પીડા કે વેદના આપણને જીવતા રાખે છે. સર્વાઇવલ માટે અત્યંત જરૂરી પરિબળ છે. પીડા થવી મહત્વપૂર્ણ વૉર્નિંગ સિગ્નલ છે, જેને અવગણી શકાય તેવું હોતું નથી. ગરમ સ્ટવને અડી જવાય કે કશું અજાણતાં વાગી જાય દર્દ એની ફરજ ત્વરિત બજાવે છે. પીડા થવી એકજાતની અલર્ટ સિસ્ટમ છે, પણ આ અલર્ટ સિસ્ટમ વાંકાચૂંકા રસ્તે ચાલવા માંડે ત્યારે ક્રૉનિક પેએનમાં સ્થિત થઈ જાય છે. કંઈક રહસ્યમય રીતે અસાધારણ દુખાવો થયા જ કરતો હોય છે જેને મટાડવો મુશ્કેલ થઈ જાય છે. દુખાવો ક્યાંથી શરુ થાય છે તે સમજવું જ મુશ્કેલ બની જતું હોય છે. ભાવનાઓ, અપેક્ષાઓ અને મેમરી બધું ભેગું થઈને ક્રૉનિક પેએન થવા માટે સહાયભૂત બનતું હોય છે.

હાર્ટબ્રેઇક સાથે હાર્ટબર્ન જોડાઈ જતું હોય છે. બધા દુખાવા માથામાંથી આવતા હોય છે. pain matrix નામે જાણીતા બ્રેનના વિભાગમાં દર્દનું કારણ, દર્દનું વર્ગીકરણ બધું થતું હોય છે. દુખાવા વિવિધ પ્રકારના હોય છે. કોઈ શૂળની જેમ ભોંકાતા હોય છે, કોઈ સણકા સ્વરૂપે ફરજ બજાવતા હોય છે. ‘ભોગવે તે જાણે’ એવું હોય છે.

બ્રેનનો anterior cingulate cortex વિભાગ દુખાવા નોંધણી દફતર તરીકે કામ કરતો હોય છે, જે શારીરિક પીડાને માનસિક પીડામાં ફેરવી ચિંતિત કરવામાં ભાગ ભજવતો હોય છે. આ વિભાગ માનસિક પીડા અને શારીરિક ઈજામાં ભેદભાવ કરવાનું મુનાસિબ સમજતો નથી કે એને આવડતું નથી. પેટમાં દુખે તો પણ આ ભાગ સક્રિય બની જતો હોય છે અને કોઈ અવહેલના કરે કે પત્ની રિસાઈને પિયર જતી રહે તો પણ આ ભાગ સક્રિયતા જતાવતો હોય છે. M. Catherine Bushnell , Director of the Mc Gill University Centre for Research on Pain કહે છે ” Change the mood , and it changes the Pain.” આ કે

કૅથરીનનો એક પેશન્ટ હતો જેનું બ્રેન ડૅમિજ થઈને sensory વિભાગ ખલાસ થઈ ગયેલો, બાકીનું cingulate સારું હતું. એની આંખો બંધ કરાવીને આ લોકો એના હાથે કશું તીક્ષ્ણ પદાર્થ વડે ભોંકતા તો એને કશી અસર થતી નહિ. કયા હાથે આ લોકો પ્રયોગ કરે છે તે પણ કહી શકતો નહિ. ફક્ત એને ગમતું નથી એટલું જ લાગતું. ઈજાની દુખ દર્દની અનુભૂતિ થતી નહિ. બ્રેનનો આ વિભાગ સહાનૂભુતિ વડે પણ સક્રિય બની જતો હોય છે.

પતિપત્ની કે પ્રેમીઓ વચ્ચે ખૂબ તાદાત્મ્ય હોય તો એક જણને પીડા થતી હોય અને બીજું પાત્ર જોતું હોય તો એનું સિન્ગ્યુંલેટ તરત રિસ્પૉન્સ આપતું હોય છે. જેટલું તાદાત્મ્ય વધારે તેટલો રિસ્પૉન્સ વધુ. મતલબ તમારું સ્નેહીજન પીડા ભોગવતું હોય તો તે પીડા તમને પણ થવાની છે. દાખલા તરીકે તમારી પત્ની પ્રસૂતિની પીડા ભોગવતી હોય તો તમને તે સમયે પેટમાં દુખાવો થવાની શક્યતા છે જો તમે અતિશય સ્નેહગાંઠ વડે જોડાયેલા હોવ તો…અને એવા દાખલા નોંધાયેલા પણ છે. જો તમે વધુ પડતા લાગણીશીલ હોવ ભાવુક હોવ તો તમને તમારા પોતાના દર્દનો અહેસાસ પણ વધુ થવાનો.

ક્રૉનિક પેએન વડે પીડાતા લોકોને ઘણા neurotic કહેતા હોય છે. “Pain-prone personality” આઇડિઆને સંશોધકો બહુ માનતા નથી. માનવ સર્જિત બળાત્કાર કે હત્યાકાંડ કે પછી કુદરતી હોનારતો જેવી કે ભૂકંપ કે સુનામી જેણે અનુભવ્યા હોય તે લોકો એક ટ્રૉમૅમાં જીવતા હોય છે. એમનો Pain matrix વિભાગ ખૂબ ઍક્ટિવ બની ગયેલો જોવા મળ્યો છે. બિહેવ્યર ટેક્નિક વડે આવા દુખ દરદનો ઉપાય કરવો પડતો હોય છે.

મસલ્સની જેમ જે તે બ્રેન સર્કિટનો જેમ વધુ ઉપયોગ થાય તેમ તે બ્રેન સર્કિટ મજબૂત બનતી જતી હોય છે. જેમ કે તમારે હાર્મોનિયમ વગાડતા શીખવું હોય તો વારંવાર વગાડવું પડે તેમ તેમ એમાં ઉપયોગમાં આવતી બ્રેન સર્કિટ વધુને વધુ મજબૂત, પાવરફુલ અને એ

ઍક્ટિવ બનતી હોય છે જે હાર્મોનિયમ શીખવામાં મદદરૂપ થાય. પણ વારંવાર જૉઇન્ટ પેએન અનુભવતા આ કરામત ક્રૉનિક પેએન બની જતા વાર નથી લગાડતી. Gavril Pasternak , Director ઑફ molecular neuropharmacology at Memorial Sloan -Kettering Cancer Center in New York City કહે છે ” Pain pathways are like a trail in the forest , if you have a path that is already worn , it is easier to follow and it becomes strengthened .” દુખ દર્દનાં રસ્તા જંગલની કેડીઓ જેવા હોય છે. આ કેડીઓ પર કોઈ અવરજવર ના હોય તો જીર્ણશીર્ણ થઈ ગઈ હોય છે. પણ એકવાર રોજ અવરજવર ચાલુ થઈ જાય તો રૂડા રૂપાળાં સરસ મજાના રસ્તા ઉભા થઈ જતા હોય છે.

ન્યુઅરૉલજિકલ પ્રોસેસ છે જ એવો કે જેમ સંગીતમાં પ્રવીણ બની શકાય છે તેમ દર્દ વધુ અનુભવવાનું પણ શીખી શકાય છે. મતલબ દર્દ કે પીડા તમારે વધુ અનુભવવી હોય તો તમારા હાથમાં છે. fibromyalgia જેવા ક્રૉનિક સંધિવા જેવા રોગોમાં સામાન્ય સ્પર્શ પણ ઘણાને ખૂબ વેદના આપતો હોય છે જેટલો કમરના અસહ્ય દુખાવા સમયે આપતો હોય. એવા પણ દાખલા નોંધાયા છે કે કોઈ અસાધારણ અને અસાધ્ય ઈજા થઈ હોય અને પગ કાપી નાખવો પડ્યો હોય અને તે પગ ના હોવા છતાં તે પગમાં દર્દનો અહેસાસ થતો હોય છે.

ભયાનક ટૉર્ચર થયું હોય તેવા લોકોમાં જે તે અંગ સારા થઈ ગયા હોવા છતાં તે અંગોમાં પીડા થતી હોય તેવું અનુભવાતું હોય છે. બ્રેન સર્કિટમાં દર્દ એક ડામની જેમ અંકિત થઈ ગયું હોય છે. આમ દર્દ હોય તેના કરતા એનો અહેસાસ વધુ કરવાનું શીખવું હોય તો શીખી શકાય છે તેમ દર્દ હોય તેના કરતા ઓછો અહેસાસ કરવાનું પણ શીખી શકાય છે.

વધુ પછી….

કરીએ કદર કસરતની

 

કરીએ કદર કસરતની
આપણ ગુજરાતીઓના દિલમાં હનુમાનજી વસેલા છે પણ અખાડો નહિ. આપણે હનુમાનજીને તેલ ચડાવી તેલનો બગાડ કરીએ છીએ પણ જાતે તેલ માલીશ કરીને હનુમાનજી જેવું શરીર સૌષ્ઠવ કેળવવાનું વિચારતા નથી. આપણે ગુજરાતીઓ અખાડાપ્રેમી પ્રજા નથી. આપણે કસરતના દીવાના જરાય નથી. આપણાં યુવાનોને માણેકચંદ ખાવામાં ખૂબ રસ પડે પણ પ્રો. માણેકરાવનાં અખાડામાં જવામાં જરાય રસ નો પડે. એવા કેટલાય  ગુજરાતી યુવાનો હશે જેમણે ક્યારેય અખાડો જોયો નહિ હોય., અને એવો મરાઠી યુવાન ભાગ્યેજ જોવા મળશે જેણે અખાડો ના જોયો હોય. ઉત્તરપ્રદેશ અને બિહારની પ્રજા અખાડાપ્રેમી છે. હરિયાણા પંજાબની પ્રજા પણ ખૂબ અખાડાપ્રેમી છે. અમદાવાદમાં સારા એવા પ્રમાણમાં અખાડા છે કારણ અમદાવાદમાં થોડો સમય મરાઠા રાજ કરી ગયા હતા. વડોદરામાં ગલીએ ગલીએ એક અખાડો હોય જ. જ્યાં જ્યાં ગાયકવાડનું રાજ તપતું હતું તે દરેક ગામમાં એક અખાડો,એક પ્રાથમિક શાળા અને એક લાઇબ્રેરી હોવી જ જોઈએ તે સરકારી નિયમ હતો. અમારું માણસા ગાયકવાડની આણ નીચે નહોતું. માટે આજે પણ ત્યાં અખાડો નથી. આઝાદી પછી વિજાપુર તાલુકો હોવાથી પિતાશ્રીને વકીલાત કરવા વિજાપુરમાં વસવું પડેલું. વિજાપુર ગાયકવાડી ગામ હોવાથી ત્યાં અખાડો હતો. એક  સરસ મજાની વિશાલ લાઇબ્રેરી હતી. અમારા પુરાણી સાહેબ અમને તે અખાડામાં લઈ જતા. દંડ બેઠક મરાવતા, કુસ્તીના દાવપેચ શીખવતા. પુરાણી ભાઈઓએ ગુજરાતમાં અખાડા પ્રવૃત્તિ શરુ કરવામાં મહત્વનો ફાળો આપેલો પણ કસરત પ્રત્યે સ્વાભાવિક ઉપેક્ષાએ ધીમે ધીમે પુરાણી ભાઈઓની મહેનત માથે પડી હતી. વડોદરાનું લક્ષ્મીનાથ વ્યાયામ મંદિર હજુ અંબુભાઈ પુરાણીની યાદ આપતું ઊભુ છે. વડોદરામાં હજુ પણ પ્રોફેસર માણેકરાવનો અખાડો ઊભો છે. એમની યાદમાં એક રોડનું નામ પ્રોફેસર માણેકરાવ રોડ પણ આપેલું છે.
મારા પિતાશ્રી પોતે અખાડીયન હતા. અમને સૂર્ય નમસ્કાર કરાવતા. વાંચવાનો અને કસરત કરવાનો શોખ અમને પિતાશ્રી તરફથી મળેલો. સૂર્યનમસ્કાર સારી કસરત છે.એમાં અમુક આસનો, દંડ, બેઠક, સ્ટ્રેચિંગ બધું ભેગું આવી જાય. પણ સલમાનખાન જેવું બોડી બનાવવું હોય તો સૂર્યનમસ્કાર નો ચાલે. આપણે સલમાનખાનના ઉઘાડા શરીરને જોઈ ખુશ  થનારી પ્રજા છીએ પણ એના જેવી મહેનત કરી શરીર બનાવવાવાળી નહિ. દારાસિંહ અને ધર્મેન્દ્ર જેવા અભિનેતાઓ બોલીવુડમાં હતા પણ એમની કોઈ અસર કે પ્રેરણા જોવા નહોતી મળતી. સલમાનખાન આવ્યા પછી અને તેના પછીના મોટાભાગના  અભિનેતાઓ શરીર બનાવીને આવવા માંડ્યા પછી યુવાનોમાં જિમ જવાનો શોખ વધ્યો હશે. ભારતમાં અખાડા પ્રવૃત્તિ શરુ કરવામાં આદિ શંકરાચાર્યનો બહુ મોટો ફાળો રહ્યો છે. નાગા બાવાઓની એક આખી જમાત ઊભી કરી હતી જે શસ્ત્રો વાપરવામાં પણ નિષ્ણાત હતી. વિજાપુરમાં ખાક ચોક તરીકે ઓળખાતું એક મંદિર હતું. ત્યાં કાયમ ધૂણો ધખતો અને ત્યાં આવતા બાવાઓ કસરત કરતા, કુસ્તી પણ કરતા. અમે નાના બાળકો ત્યાં જોવા પણ જતા. ગોસ્વામી અટક લખાવતો યુવાન જો માયકાંગલો હોય તો તે આદિ શંકરાચાર્યનું અપમાન કહેવાય. આર્યસમાજી મહર્ષિ દયાનંદ સરસ્વતી પોતે પહેલવાન હતા. પાખંડીઓનાં સ્વર્ગ સમાન ગુજરાતમાં આ ગુજરાતના રત્નને સભાનપણે ઉપેક્ષિત કરાયા છે પણ હરિયાણાએ એમનું ખૂબ માન જાળવ્યું છે.
ગાંધીજીને પણ કસરત પ્રત્યે અણગમો હતો. અખાડામાં તો ગુંડાઓ જાય તેવો પૂર્વગ્રહ ધરાવતા હતા. અહિંસાને અખાડા પ્રત્યે સ્વાભાવિક અણગમો હોય. ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયમાં અહિંસક ધર્મનું પ્રભુત્વ  વધ્યું હતું. અહિંસાનો અતિરેક કુમારપાળ રાજાના સમયમાં થઈ ગયેલો. માથામાં પડેલી ‘જુ’ મારવાની પણ મનાઈ હતી. “યથા રાજા તથા પ્રજા, યથા ગુરુ તથા ઘેંટા.”  અહિંસા આવી અખાડાનું ઉઠમણું થઈ ગયું. ધર્મોની આપણાં સમાજ ઉપર ભારે અસર હોય છે. ગુજરાતમાં જૈન ધર્મ,  વૈષ્ણવ અને સ્વામીનારાયણ સંપ્રદાયનું ખૂબ જોર છે. આ ત્રણેમાંથી એકેય અખાડાપ્રિય નથી. નાગાબાવાઓ ગિરનારમાં છુપાઈ ગયા છે. વડોદરામાં પોળે પોળે અખાડા હોવા છતાં એમાં મહારાષ્ટ્રીયન ભાઈઓ જ વધુ જોવા મળે. છતાં એકંદરે વડોદરામાં કસરત પ્રત્યે પ્રેમભાવ સારો એવો જોવા મળે. એનું મૂળ કારણ ગાયકવાડ રાજાઓ છે. મહારાજા ખંડેરાવ ગાયકવાડ પોતે જબરા મલ્લ હતા. આખા વડોદરા રાજ્યમાંથી મજબૂત અને પહેલવાન જેવા માણસો ભેગાં કરતા. રાજના ખર્ચે ટ્રેનિંગ અપાતી અને એમની સાથે મહારાજા જાતે કુસ્તીમાં ઊતરતા. અતિશયોક્તિ હોઈ શકે પણ એવું કહેવાતું કે ખંડેરાવ મહારાજા તાંબા કે પિત્તળની કથરોટ હાથ વડે ચીરી નાખતા.
વડોદરા ગયા પછી હું મીસેકો જિમમાં જતો. મીસેકો જિમના નાયડુ સાહેબ બોડી બિલ્ડરોની સ્પર્ધા પણ યોજતા. મીસેકોના પહેલવાનો એમના મસલ્સનાં ટુકડે ટુકડા બતાવી સ્પર્ધા જીતી જતા. મને નકલ ઉપર પુશ અપ કરવાનો શોખ હતો. બહુ સમયથી છોડી દીધા છે છતાં હું આજે પણ રોડ ઉપર કે રફ રસ્તા કે પ્લાસ્ટર કે ટાઈલ્સ પર નકલ ઉપર પુશ અપ કરી શકું છું. નકલ એટલે હાથનો પંજો નહિ, મુઠ્ઠી જમીન પર મૂકીને કરવામાં આવતા પુશ અપ. ઘણા યુવાનોને સામાન્ય કસરત, બોડી બિલ્ડિંગ માટે કરવામાં આવતી વેઇટ લીફટીંગની કસરતો વિષે સમજ જરાય હોતી નથી. વડોદરામાં અભ્યાસ કર્યા બાદ હું થોડા વર્ષ માણસા રહેલો. તે સમયે પી.એસ.આઈ. ની જોબ માટે ઘણા બધા અમારા રાજપૂત યુવાનોએ એપ્લાય કરેલું. એમાં પ્રથમ લેખિત પરીક્ષા હતી અને એમાં પાસ થાય પછી ફીજીકલ ફિટનેશ ટેસ્ટ આપવાનો હતો. આ બધા માણસા કૉલેજના મેદાનમાં દોડવાની પ્રેક્ટીસ કરવા જતા. આમાં ઘણા બધા યુવાનો તો આમજ રમવા સમય પસાર કરવા જતા, તેઓને કોઈ ફીજીકલ ફિટનેશ ટેસ્ટ આપવાનો હતો નહિ. સાંજે બધા ભેગાં થઈએ તો ઘણા કહે આજે તો ૫૦ કિલો વજન ઊચકી કસરત કરી, કોઈ કહે આજે ૬૦-૭૦  કિલો ઊચકી કસરત કરી. મને સાંભળી ખૂબ નવાઈ લગતી કે આટલું  બધું વજન ઊચકી આ લોકો કઈ કસરત કરતા હશે? એક દિવસ હું જાતે જોવા ગયો. આ મિત્રો એક બારની બે બાજુ પ્લેટો ભરાવી ઊચકતા ખભે સુધી લાવીને ફેંકી દેતા, કસરત પૂરી. મને ખૂબ હસવું આવ્યું. મેં કહ્યું આ કસરત ના કહેવાય. ચાલો હું બતાવું તેમ કરો. મેં ખાલી પાંચ પાંચ અને ઘણાને તો ખાલી અઢી અઢી કિલો વજનની  પ્લેટો ભરાવીને બાયસેપ અને ટ્રાયસેપ માટે દસ દસના ત્રણ સેટ મરાવ્યા. આટલું ઓછું વજન જોઇને તે લોકો હસતા હતા મારી ઉપર. મેં કહ્યું એકવાર સેટ મારો તો ખરા પછી કહેજો. પછી મેં દરેકને બે બાજુ પાંચ પાંચ કિલોની પ્લેટો ભરાવી કૉલેજમાંથી એક બેંચ મંગાવી બેન્ચપ્રેસ મરાવી. આટલું જ વજન ઉચકાવી ફક્ત દસ દસ બેઠકો મરાવી. બીજા દિવસે પુચ્છ્યું,  કેવું છે ભાઈઓ?  બધા કહે તમે શું કરાવ્યું યાર? હલાતું પણ નથી. છાતીનાં મસલ્સ તો પહેલીવાર એવા દુખે છે  કે ના પૂછો વાત. મેં કહ્યું ૬૦-૭૦ અને ઘણાં તો ૧૦૦ કિલો ઊચકીને કસરત કરતા હતા ને બધા? ૫-૧૦ કિલોમાં ફટ ગઈ? વર્કઆઉટ કોને કહેવાય તે જ ખબર હોતી નથી. પી.એસ.આઇની લેખિત પરીક્ષામાં તે સમયે લગભગ બધા પાસ થઈ ગયા હતા, પણ કસરતના અભાવે ફક્ત એક જ ભાઈ ફીજીકલ ટેસ્ટમાં પાસ થયેલા. કારણ તે ભાઈ કૉલેજની બાસ્કેટબોલની ટીમમાં હતા. આજે તે ભાઈ પોલીસ ઇન્સ્પેક્ટર છે. આશરે દસેક યુવાનોએ લેખિતમાં પાસ હોવા છતાં સીધા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જોબ ગુમાવી હતી.
જિમમાં આધુનિક વેઇટ લીફટીંગ કરીને કરવામાં આવતી કસરતોમાં પરિણામ જલદી મળે છે. પણ તે પ્રમાણે સારા પ્રોટીન યુક્ત પૌષ્ટિક ખોરાક પણ ખાવા પડે. નહીતો મસલ્સ વધીને વજન વધવાના બદલે વજન ઓછું થતું જાય. હા અતિશય વજન હોય અને વજન ઓછું કરવા કસરત કરતા હોવ તો જુદી વાત છે. છતાં સપ્રમાણ ખોરાક તો જરૂરી જ હોય છે. આવા વર્કઆઉટમાં મસલ્સ જલદી વધે તેમ છોડી દેતા મસલ્સ ઊતરી પણ જલદી જાય. માટે વર્કઆઉટ લાંબા સમય નિયમિત કરવા જરૂરી છે. યુવાનીમાં પાંચ વર્ષ સતત વર્ક આઉટ કરો તો પછી બોડી સરસ જામી જાય. જૂની અખાડાની કસરતોમાં મગદળ ફેરવવા, દંડ બેઠક મારવી, કુસ્તી કરવી મુખ્ય હતા. હવેના આધુનિક સાધનોની મદદ વડે થતા વર્કઆઉટમાં શરીરના દરેક મસલ્સ માટે અલાયદી વજન ઊચકીને કરવાની કસરત હોય છે. આમાં તમે જો દરેક મસલ્સને અનુરૂપ પ્રમાણસર કસરત ના કરો તો શરીર પણ સપ્રમાણ વધે નહિ. મતલબ તમે બાવડાં મજબૂત બતાવવા ખાલી બાયસેપ અને ટ્રાયસેપ જ માર્યા કરો અને સોલ્ડરની કસરત ઓછી કરો તો પરિણામ સામે જ હોય છે. મારા જાત અનુભવથી મેં એવા યુવાનો જોયા છે જેમના શરીરના ઉપરના અંગ ચેસ્ટ, બાયસેપ, બેક, સોલ્ડર, સિક્સ પેક બધું ઊડીને આંખે વળગે તેવું હોય પણ પગ જુઓ તો પાતળા હોય. થાઈ, પગની પીંડીઓ બધું સાવ પાતળું હોય. વર્કઆઉટ કરતા યુવાનોમાં આ ખામી મેં મોટાભાગે જોઈ છે. શરીરના ઉપરના ભાગો માટે પાગલની જેમ વર્ક આઉટ કરતા યુવાનો શરીરના નીચેના ભાગો માટે ઉપેક્ષા કરતા હોય છે. બાયસેપ વધારવાની સૌને પડી હોય છે. કેમકે ટૂંકી બાયની ટીશર્ટ  પહેરી રોફ  જમાવી શકાય. પહેલી નજર બાવડાં ઉપર જતી હોય છે.
મસલ્સને રીકવર થતા ૨૪ થી ૪૮  કલાક જોઈતાં હોય છે માટે જો ભારે વજન ઊચકીને વર્કઆઉટ કરતા હોવ તો એક દિવસ વચમાં વર્કઆઉટ કર્યા વગર જવા દેવો હિતાવહ છે. આમ વીકમાં ચાર દિવસ વર્કઆઉટ કરવો શરીર માટે ઉત્તમ છે. રોજ કરવો હોય તો એક દિવસ શરીરના ઉપરના ભાગનો અને બીજા દિવસે નીચેના મતલબ પગ અને થાઈ વગેરે માટે વર્કઆઉટ કરવો ઉત્તમ ગણાય. વોર્મ અપ કર્યા વગર કોઈ દિવસ વર્ક આઉટ શરુ કરાય જ નહિ. વર્કઆઉટ વખતે મસલ્સને પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન  જોઈએ. એટલે શરીરને ગરમ કરવાની કસરતો પહેલી કરવી જોઈએ. જેથી કોશોને પૂરતો ઓક્સિજન મળવાનું શરુ થઈ જાય. ગુજરાતમાં ખૂબ ગરમી હોય છે. આ બધી કસરતો દોઢ બે કલાક કાઢી નાખે. ખૂબ પરસેવો થતો હોય છે. માટે વચમાં વચમાં થોડા થોડા પ્રમાણમાં પાણી પીતાં રહેવું પણ હિતાવહ છે. આવી ભારે કસરતોમાં કમરમાંથી બેન્ડ થઈને વજન ક્યારેય ના ઊચકવા. સ્પાઈનલ કોર્ડનું ધ્યાન રાખીને વજન ઊચકવું,  નહીતો કાયમ માટે બેકપેઈન થઈ જવાની સંભાવના વધી જાય છે. શાકાહારી મિત્રોએ સારા એવા પ્રમાણમાં દૂધ અને દહીંનો ઉપયોગ કરવો જરૂરી છે. મસલ્સ માટે પ્રોટીન મહત્વના છે માટે કઠોળ ખૂબ ખાવા પડે. જિમમાં હાજર નિર્દેશકની સલાહ સૂચન મુજબ કસરત કરવી યોગ્ય છે.
સ્ટ્રેસ, તણાવ દૂર કરવા જો  સિગારેટ પીતાં હોઈએ કે એક પેગ શરાબનો મારતા હોઈએ તો એના કરતા થોડા દંડ બેઠક મારી લેવા સારા. સ્ટ્રેસ દૂર કરવા માટે કસરત બહુ ઊચી ચીજ છે. બીજા રાજ્યોની સરખામણીએ ગુજરાતના યુવાનો કમજોર દેખાય છે તેનું મુખ્ય કારણ કસરત પ્રત્યે ઉપેક્ષા છે. હિંસા કરવા માટે નહિ પણ હિંસાથી બચવા તો કસરત કરો?  

 

લાલ રંગ ભય (ખતરા) કે રુક જાઓ (STOP) .

લાલ રંગ ભય (ખતરા) કે રુક જાઓ (STOP) .
લાલ રંગ લવ, રોમાન્સ અને સેક્સનું પ્રતીક ગણાય છે. એના મૂળિયા ઉત્ક્રાન્તિના ઇતિહાસમાં પડેલા છે. આપણાં પ્રાઈમેટ પૂર્વજો માંકડા, ચિમ્પાન્ઝી જેવા બીજા એપ્સમાં જુઓ તો માદા હીટમાં આવે ત્યારે એમના જનીન અંગો ફૂલીને લાલચોળ ગુલાબી જેવો રંગ પકડી લેતા હોય છે. આ નર માટે સિગ્નલ હોય છે. માનવજાતમાં પણ સ્ત્રી એની ફલદ્રુપતાની ચરમસીમાએ હોય છે ત્યારે એના મુખ પર પણ કોઈ ગજબની લાલી છવાઈ જતી હોય છે. આમ લાલ રંગ લવ અને રોમાન્સ સાથે જોડાઈ ગયો.
આમ છતાં લાલ રંગ ખતરાની નિશાની તરીકે પણ જોવાય છે. એના બે ત્રણ  કારણો છે.  એક કારણ ઈવોલ્યુશન સાથે જોડાયેલું છે. સર્વાઈવલ માટે દરેક પ્રાણીને બે વસ્તુ મુખ્ય જરૂરિયાતની હોય છે. એક તો ખોરાક અને બીજું પોતાના જિન્સ નવી પેઢીમાં ટ્રાન્સ્ફર કરવા. આ બંને માટે પ્રાણી જગતમાં ખૂબ હરીફાઈ હોય છે. ચાલો ખોરાક તો મળી જાય પણ પોતાના જિન્સ ટ્રાન્સ્ફર કરવા માટે માદા મેળવવા ખૂબ લડાઈ લડવી પડતી હોય છે. આલ્ફા નરને પણ ખૂબ લડાઈ લડ્યા પછી આલ્ફા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય છે અને પછી માદાઓ ભોગવવા મળતી હોય છે. માદા પણ નબળા નરને જલદી હાથ મૂકવા દેતી નથી. બીજું આલ્ફા પદ સાચવી રાખવાનું પણ સાવ સહેલું નથી. આ પદ સાચવી રાખવા માટે પણ કાયમ લડાઈઓ લડવી પડતી હોય જ છે. અને જ્યારે લડાઈ થાય ત્યારે સૌથી પહેલું શું વહે છે? સૌથી પહેલું લાલ રંગનું લોહી વહે છે. આ લોહી જો વધુ વહી જાય તો મોત મળે છે. એટલે લોહીનો લાલ રંગ બહુ વહી જાય તો જીવન સમાપ્ત. આમ આપણાં જિન્સમાં પ્રોગ્રામિંગ થયેલું હોય કે જેમ લાલ રંગ રોમાન્સનો છે તેમ જોખમનો પણ છે. કારણ લવ અને રોમાન્સ પામવા જતા પણ પહેલા તો લાલ રંગનું લોહી વહાવવાનું જોખમ તો ઊભું જ હોય છે. ભલે અત્યારે સામાજિક વ્યવસ્થાઓને લીધે માનવજાતને સ્ત્રી મેળવવા લોહી ભલે ના વહાવવું પડતું હોય પણ મેમલ બ્રેઈનમાં થયેલા પ્રોગ્રામિંગ ભૂસવા સરળ નથી.
એક કારણ એવું પણ છે કે જ્યારે કોઈ વસ્તુ હદ બહાર ગરમ થાય કે સળગે ત્યારે લાલ રંગ પકડી લે છે. લાકડા, કોલસો સળગે ત્યારે લાલ રંગ પકડી લેતા હોય છે. જ્વાળામુખી ફાટે ત્યારે લાવા લાલ રંગનો હોય છે. અગ્નિનો રંગ લાલ છે. હવે આવી તપેલી લાલ વસ્તુને પકડીએ તો શું થાય? આ રીતે પણ લાલ રંગ જોખમના પ્રતીક તરીકે માનસિકતામાં ઘૂસી જાય તેમાં શું નવાઈ?
લાલ રંગ ભયના સિગ્નલ તરીકે વપરાય છે. ટ્રાફિક સિગ્નલ પર થોભવા માટે લાલ રંગ વપરાય છે. બીજે પણ જ્યાં જીવનું જોખમ હોય ત્યાં લાલ રંગ ચેતવણી માટે વપરાય છે. તેનું કારણ ભૌતિકવિજ્ઞાનમાં છે. લાલ રંગના કિરણોની વેવલેન્થ હાઈએસ્ટ હોય છે. બીજા રંગના કિરણો  air molecule વડે વેરવિખેર થઈ જતા હોય છે ત્યાં લાલ રંગના કિરણો બહુ ઓછા વેરવિખેર થતા હોય છે તેનું કારણ એની હાઈએસ્ટ વેવલેન્થ છે. આમ લાલરંગના કિરણો બહુ લાંબે સુધી જઈ શકતા હોય છે. એટલે ઘણા દૂરના અંતરેથી પણ લાલ રંગ જલદી દેખાઈ જાય છે.  જોખમ તો વહેલું દેખાઈ જાય તો જ સારું ને?
દાંત અને જડબા વચ્ચે કુદરતનો રંગ લાલ છે. 
 

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. Hard Truths About Human Nature.

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. Hard Truths About Human Nature.

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ

પ્રેમના પુષ્પો કોઈના દિલમાં ખીલે તો પ્રથમ કયો રંગ યાદ આવે? વૅલેન્ટાઇન દિવસે કાર્ડ ઉપર દોરેલા લાલ રંગના હૃદય પર કોણ ઓળઘોળ નહિ થતું હોય? લાલરંગ લવ અને સેક્સનું પ્રતીક છે.  સ્ત્રી જ્યારે scarlet રંગછટામાં નીખરીને સામે ઊભી હોય ત્યારે પુરુષને ખૂબ appealing લાગતી હોય છે.

કસુંબી=scarlet – સ્કારલિટ,  કિરમજી, લાલચોળ, નારંગી ઝાંયવાળો રાતો રંગ.

દંતકથા હોય કે સંસ્કૃતિને લક્ષ્યમાં લો, લાલ રંગ રૉમૅન્સ સખત રીતે સાથે જોડાયેલો છે. ‘ એ લાલ રંગ કબ મુઝે છોડેગા?’ કાકાનું( રાજેશખન્ના) ફિલ્મમાં ગાયેલું આ ગીત સારું એવું પ્રખ્યાત હતું.  પુરુષોને સ્ત્રી ઉપર લાલ રંગ ગમે છે તેના મૂળિયા ઇવલૂશનરી ભૂતકાળમાં છુપાએલા છે. બબુન, માંકડા, ચિમ્પૅન્ઝી જેવા આપણાં ફીમેલ પ્રાઇમેટ સંબંધીઓ જ્યારે એમની ફલદ્રુપતાની ટોચે હોય, મતલબ અંડમોચન, ઑવુલ્યેશન સમયમાં હોય ત્યારે એમના ગુપ્તાંગ લાલચોળ બની જતા હોય છે, જે નર માટે સિગ્નલ હોય છે. નર આ જોઈ સમજી જાય કે સમાગમ માટે આ મહત્વનો સમય છે. આમ આ લાલ રંગ નરને આકર્ષતો હોય છે. આવી જ રીતે માનવજાતમાં પણ સ્ત્રી જ્યારે ovulation સમયમાંથી પસાર થતી હોય ત્યારે બ્લડ વેસલ ઍક્ટિવિટિ વધી જવાથી એના ચહેરા લાલ ગુલાબી રંગ પકડી લેતા હોય છે.

આમ સામાજિક અને બાયલૉજિકલ લાલ રંગ રૉમૅન્સ સાથે જોડાઈ ગયો છે. આપણે ત્યાં પણ લગ્નસમયે કન્યા લાલ શેડ આધારિત કપડાંમાં શોભતી હોય છે. લાલ રંગની બંગડીઓ, લાલ રંગની સાડીઓ સ્ત્રીની પહેલી પસંદ હોય છે. આધુનિક યુવતીઓમાં પણ લાલ રંગની ટી-શર્ટ વધુ પ્રચલિત હોય છે. ટૂંકમાં સ્ત્રી જ્યારે લાલ રંગે સજધજ  હોય તો પુરુષ એના પ્રત્યે વધુ આકર્ષાય તે હકીકત છે. સ્ત્રી ઉપરનો લાલ રંગ શબ્દો વગરનું એક આમંત્રણ છે. પરંતુ તમારે વિવેક રાખવો.  

વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ કરેલો. ઑન-લાઈન ડેટિંગ સાઇટ્સ ઉપર કેટલી સ્ત્રીઓ રૅજિસ્ટર કરવામાં આવી. આ બધી યુવતીઓ ૨૦ થી ૩૦ વર્ષ ઉંમર ધરાવતી હતી. આ સ્ત્રીઓએ એમના પ્રોફાઇલમાં કલર ફોટા મૂકવાના હતા. ફોટા ચેસ્ટ સુધીના રાખવાના હતા. એકલો  ફેસ હોય તો કયા રંગના કપડાંમાં સજ્જ છે તે દેખાય નહિ. નવેક મહિના સુધી પ્રયોગ ચાલવાનો હતો. હવે આ સ્ત્રીઓને મળવા ઉત્સુક પુરુષોના આવતા ઈ-મેલ  ડેટા(ડૅટૅ) કલેક્ટ કરવામાં આવતા હતા. ફોટોશૉપની મદદ વડે આ સ્ત્રીઓના ચેસ્ટ એરિઅમાં દેખાતા કપડાઓનો રંગ ચોક્કસ સમયાંતરે બદલવામાં આવતો હતો. કપડાના બદલાતા રંગ, બ્લેક, વાઇટ, યેલો, બ્લૂ, ગ્રીન અને રૅડ હતા. અભ્યાસ પૂરો થયા પછી ૨૬ સ્ત્રીઓના ડેટા તૈયાર હતા. ૨૦૬૩ પુરુષોએ ઈ-મેલ કર્યા હતા.

જ્યારે આ સ્ત્રીઓના કપડા લાલ રંગના પ્રોફાઇલમાં બતાવ્યા હતા તે સમયમાં સૌથી વધારે ડેટિંગ ઑફર પુરુષો દ્વારા ઈ-મેલ વડે  આવી હતી. અને સૌથી ઓછી બ્લેક કપડા સમયે. આ પ્રયોગ Gueguen and Jacob નામના વૈજ્ઞાનિકોએ કરેલો.

” બિંદીયા ચમકેગી, ચૂડી ખનકેગી, ગજરા મહેકેગા.”—- ભારતીય સ્ત્રીઓના કપાળમાં લાલ રંગનો ચાંદલો અને હાથમાં પહેરેલી લાલ ચૂડીઓ શું સૂચવે છે?? લાલ રંગ ભય (ખતરા) કે રુક જાઓ (STOP) .

લાલ રંગ લવ, રૉમૅન્સ અને સેક્સનું પ્રતીક ગણાય છે. એના મૂળિયા ઉત્ક્રાંન્તિના ઇતિહાસમાં પડેલા છે. આપણાં પ્રાઇમેટ પૂર્વજો માંકડા, ચિમ્પૅન્ઝી જેવા બીજા એપ્સમાં જુઓ તો માદા હીટમાં આવે ત્યારે એમના જેનિટલ અંગો ફૂલીને લાલચોળ ગુલાબી જેવો રંગ પકડી લેતા હોય છે. આ નર માટે સિગ્નલ હોય છે. માનવજાતમાં પણ સ્ત્રી એની ફલદ્રુપતાની ચરમસીમાએ હોય છે ત્યારે એના મુખ પર પણ કોઈ ગજબની લાલી છવાઈ જતી હોય છે. આમ લાલ રંગ લવ અને રૉમૅન્સ સાથે જોડાઈ ગયો.

આમ છતાં લાલ રંગ ખતરાની નિશાની તરીકે પણ જોવાય છે. એના બે ત્રણ  કારણો છે.  એક કારણ ઇવલૂશન સાથે જોડાયેલું છે. સર્વાઇવલ માટે દરેક પ્રાણીને બે વસ્તુ મુખ્ય જરૂરિયાતની હોય છે. એક તો ખોરાક અને બીજું પોતાના જેનિસ નવી પેઢીમાં ટ્રાન્સ્ફર કરવા. આ બંને માટે પ્રાણી જગતમાં ખૂબ હરીફાઈ હોય છે. ચાલો ખોરાક તો મળી જાય પણ પોતાના જેનિસ ટ્રાન્સ્ફર કરવા માટે માદા મેળવવા ખૂબ લડાઈ લડવી પડતી હોય છે.

ઍલ્ફા નરને પણ ખૂબ લડાઈ લડ્યા પછી ઍલ્ફા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય છે અને પછી માદાઓ ભોગવવા મળતી હોય છે. માદા પણ નબળા નરને જલદી હાથ મૂકવા દેતી નથી. બીજું ઍલ્ફા પદ સાચવી રાખવાનું પણ સાવ સહેલું નથી. આ પદ સાચવી રાખવા માટે પણ કાયમ લડાઈઓ લડવી પડતી હોય જ છે. અને જ્યારે લડાઈ થાય ત્યારે સૌથી પહેલું શું વહે છે? સૌથી પહેલું લાલ રંગનું લોહી વહે છે. આ લોહી જો વધુ વહી જાય તો મોત મળે છે. એટલે લોહીનો લાલ રંગ બહુ વહી જાય તો જીવન સમાપ્ત. આમ આપણાં જીનમાં પ્રોગ્રામિંગ થયેલું હોય કે જેમ લાલ રંગ રૉમૅન્સનો છે તેમ જોખમનો પણ છે. કારણ લવ અને રૉમૅન્સ પામવા જતા પણ પહેલા તો લાલ રંગનું લોહી વહાવવાનું જોખમ તો ઊભું જ હોય છે. ભલે અત્યારે સામાજિક વ્યવસ્થાઓને લીધે માનવજાતને સ્ત્રી મેળવવા લોહી ભલે ના વહાવવું પડતું હોય પણ મૅમલ બ્રેનમાં થયેલા પ્રોગ્રામિંગ ભૂસવા સરળ નથી.

એક કારણ એવું પણ છે કે જ્યારે કોઈ વસ્તુ હદ બહાર ગરમ થાય કે સળગે ત્યારે લાલ રંગ પકડી લે છે. લાકડા, કોલસો સળગે ત્યારે લાલ રંગ પકડી લેતા હોય છે. જ્વાળામુખી ફાટે ત્યારે લાવા લાલ રંગનો હોય છે. અગ્નિનો રંગ લાલ છે. હવે આવી તપેલી લાલ વસ્તુને પકડીએ તો શું થાય? આ રીતે પણ લાલ રંગ જોખમના પ્રતીક તરીકે માનસિકતામાં ઘૂસી જાય તેમાં શું નવાઈ?

લાલ રંગ ભયના સિગ્નલ તરીકે વપરાય છે. ટ્રૅફિક સિગ્નલ પર થોભવા માટે લાલ રંગ વપરાય છે. બીજે પણ જ્યાં જીવનું જોખમ હોય ત્યાં લાલ રંગ ચેતવણી માટે વપરાય છે. તેનું કારણ ભૌતિકવિજ્ઞાનમાં છે. લાલ રંગના કિરણોની વેવ-લેન્થ હાયેસ્ટ હોય છે. બીજા રંગના કિરણો  air molecule વડે વેરવિખેર થઈ જતા હોય છે ત્યાં લાલ રંગના કિરણો બહુ ઓછા વેરવિખેર થતા હોય છે તેનું કારણ એની હાયેસ્ટ વેવ-લેન્થ છે. આમ લાલરંગના કિરણો બહુ લાંબે સુધી જઈ શકતા હોય છે. એટલે ઘણા દૂરના અંતરેથી પણ લાલ રંગ જલદી દેખાઈ જાય છે.  જોખમ તો વહેલું દેખાઈ જાય તો જ સારું ને?

દાંત અને જડબા વચ્ચે કુદરતનો રંગ લાલ છે.download

 

જોડે રેજો રાજ-૪ Hard Truths about Human Nature.

જોડે રેજો રાજ-૪ Hard Truths about Human Nature.

મૅમલમાં pair-bonding બહુ ઓછું જોવા મળે, લગભગ ના બરોબર. ગ્રેટ એપ્સમાં ચિમ્પૅન્ઝી, ગરિલા, બોનોબો વગેરેમાં પેઅર બૉન્ડિંગ હોતું નથી. ગૃપના નેતાજી બધી માદાઓને ભોગવતા હોય છે. બોનોબોમાં ગૃપ નેતા માતાજી હોય છે તે વાત જુદી છે. ગિબનમાં પેઅર બૉન્ડિંગ હોય છે. પણ એમાં માદા ગિબન ઇમર્જન્સીમાં બૂમ પાડે અને નર ગિબન જલદી આવે નહિ તો ખલાસ, માદા એને ઊભો મેલીને બીજો ભાયડો પસંદ કરી લેતી હોય છે.

પોતાના જેનિસ સહેલાઈથી મોટા કરવા હોય તો પેઅર બૉન્ડિંગ જરૂરી બની જાય છે. નાના નાના કારણોસર પેઅર બૉન્ડિંગ છૂટું પડી ના જાય, પેર અલગ પડી ના જાય માટે ધીમે ધીમે પેઅર બૉન્ડિંગને એક વિધિ આપવાનું શરુ થયું, કે તમારા સહજીવન શરુ થયા  સમયે આ વિધિ કરેલી છે, માટે નજીવા કારણોસર આવેશમાં આવીને છુટા પડાય નહિ. આવું ગોઠવીને સમૂહના બુદ્ધિશાળી આગેવાનોએ એક નવો કૉન્સેપ્ટ ઊભો કર્યો તેનું નામ લગ્નવિધિ, અને આ કર્મકાંડને આધારે સહજીવન શરુ થયા તેને કહેવાય લગ્નવ્યવસ્થા.

પેઅર બૉન્ડિંગ શરુ નહોતું થયું ત્યાં સુધી સંતાનો આખા સમૂહના કહેવાતા, ત્યાં આખો સમાજ ભેગાં થઈને બાળકોને ઉછેરતો હોય. પેઅર બૉન્ડિંગ શરુ થયા, એટલે સંતાનોની ઉછેરવાની જવાબદારી માતાપિતાની આવી ગઈ. હવે આ પેઅરમાંથી એક જુદું પડી જાય તો એકલાં પિતા કે એકલી માતાએ સંતાનને ઉછેરવું પડે. અમેરિકામાં હાલ એજ થઈ રહ્યું છે. સૌથી વધુ સિંગલ પૅરન્ટ અમેરિકામાં છે. બાળકોના ઉછેર બાબતે લગ્નવ્યવસ્થા  ખૂબ ઉત્તમ પુરવાર થાય છે. સિંગલ પૅરન્ટ દ્વારા ઉછેરાયેલા બાળકોની માનસિકતા અલગ રહેવાની તે નક્કી છે. માતાના સ્નેહ અને પિતાના રક્ષણ અને હૂંફ વચ્ચે ઊછરેલા બાળકોની માનસિકતા અલગ હોય તે સ્વાભાવિક છે.

મોટાભાગના મૅમલ પૉલીગમસ(બહુગામી) હોય છે, તેમ માનવજાત બહુગમન કરતું મૅમલ છે. લગ્નવ્યવસ્થા હતી છતાં પૉલીગમી ચાલુ જ હતી, પણ લગ્નવ્યવસ્થા એ મનૉગમી તરફનું પહેલું ચરણ હતું એવું મને લાગે છે. અમુક જગ્યાએ પુરુષો ઘણીબધી સ્ત્રીઓ સાથે લગ્ન કરી પૉલીગમી આચરતા તો ઘણા સમાજોમાં સ્ત્રીઓ બહુ પતિઓ રાખતી. ભારતમાં પણ ઘણા સમાજોમાં બહુપતિત્વ(પૉલીઍન્ડ્રી) ચાલુ હતું. તિબેટ બહુપતિત્વનું  ઉત્તમ ઉદાહરણ છે.

પૉલીગમી જીનમાં હોય છે અને મનૉગમી સામાજિક વ્યવસ્થા છે. બંનેના ટકરાવમાં માનવજાત ફસાઈ ગઈ છે. મનૉગમીમાં એક સ્ત્રી અને એક પુરુષ સંસર્ગ કરતા હોય છે. લગ્ન વ્યવસ્થા દ્વારા હાલ મોટાભાગના દેશોમાં આ પ્રથા કાયદાથી અપનાવાય છે. એક પત્ની કે એક પતિ હોવો તે મનૉગમી.

માનવજાતે હમણાં સુધી પૉલીગમી આચરી છે. મનૉગમી બહુ જૂની વાત નથી. આમ ઐતિહાસિક રીતે જોઈએ તો માનવજાત પૉલીગમસ બહુ લાંબો સમય રહી છે. મજબૂત, વિપુલ રિસોઅર્સ અને હાઈ સ્ટૅટ્સ ધરાવતા પુરુષો અસંખ્ય સ્ત્રીઓ રાખતા. એક પુરુષ ચાર સ્ત્રીઓ રાખે મતલબ બાકીના ત્રણ સ્ત્રી વગર રહી જવાના. હમણાં બ્રિટનમાં એક પુરુષ એની સાથે સાત સ્ત્રીઓ રાખે છે તે જોયું, મતલબ બીજા છ પુરુષોનો ચાન્સ ગયો. આમ ઇવલૂશનની હિસ્ટરીમાં ત્રીજા ભાગના પુરુષો એમના જેનિસ ટ્રાન્સ્ફર કર્યા વગર જ દેવ થઈ ગયા છે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. છતાં મનૉગમી બહુ ઝડપથી ફેલાઈ ગઈ.

જ્યારે આપણે લગ્ન કરીએ ત્યારે વિચારીએ છીએ કે આપણું એક વ્યક્તિ સાથેનું પેઅર બૉન્ડિંગ કાયમ માટે છે. મેરેજ કૉનસેપ્ટની અંદર મનૉગમી ખૂબ ઊંડે ધરબાયેલી છે. છતાં મનૉગમીનો ઇતિહાસ સાવ નવો છે. નેપાળમાં ૧૯૬૩માં મનૉગમી કાયદેસર થઈ. પુરુષોને સેક્સ્યૂઅલ વેરાયટિ અને શૉર્ટ ટર્મ યુનિયનમાં રસ હોય છે, જ્યારે સ્ત્રીઓને એમના બાળકોના ઉછેરમાં ઍક્ટિવ ભાગ ભજવે તેવા હેલ્થી, વેલ્થિ અને હાઈ સ્ટૅટ્સ ધરાવતા પુરુષમાં રસ હોય છે. છતાં આજે મનૉગમી સમાજ પર હાવી થઈ ગઈ છે.

બ્રિટીશ કોલમ્બિયા યુનિવર્સિટીના Joseph Henrich નામના એક વૈજ્ઞાનિકે એક રસપ્રદ સ્ટડી બહાર પાડ્યો છે. હાઈ-સ્ટૅટ્સ ધરાવતા પુરુષો એક્સ્ટ્રા પત્નીઓ મેળવી જતા ક્યારેક ત્રણ કે ચાર. આમ બાકીના લો-સ્ટૅટ્સ પુરુષો માટે સ્ત્રીઓનો દુકાળ વર્તાય. આમ લો-સ્ટૅટ્સ પુરુષો સ્ત્રીઓ માટે બેબાકળા બની જવાના, સાથે સ્ત્રી મેળવવા હિંસક બનતા વાર લાગે નહિ. હેનરીક અને તેના સાથીઓના અભ્યાસમાં ધ્યાનમાં આવ્યું કે પૉલીગમસ સમાજોમાં ક્રાઇમ રેટ વધારે હોય છે. જ્યાં દરેકને સ્ત્રી ઉપલબ્ધ હોય છે ત્યાં પુરુષો એમના કુટુંબ અને સમાજ માટે કામ કરવામાં વ્યસ્ત વધુ જોવા મળે છે. મનૉગમી સમાજ માટે ફાયદાકારક છે. પૉલીગમી નેચરલ સિલેક્શન છે, મનૉગમી ગૃપ સિલેક્શન છે.

૧) મનૉગમીનો પહેલો ફાયદો એ છે કે તે ક્રાઇમ રેટ ઓછો કરે છે. એક પુરુષ ત્રણ કે ચાર સ્ત્રીઓ રાખીને બેઠો હોય તો બાકીના રહી ગયેલા સ્ત્રી પામવા માટે કોઈ પણ જોખમ ખેડવા તૈયાર રહેવાના. અભ્યાસ જણાવે છે કે કુંવારા પુરુષો પોતાનું એક ગૃપ બનાવતા હોય છે અને તે ખૂબ જોખમી અને ગંભીર ક્રાઇમ જેવા કે મર્ડર, રૅપ, સ્ત્રીઓનું કિડનેપિંગ કરતા વિચારતા નથી. પરણેલા પુરુષો આવું ઓછું કરતા હોય છે. મનૉગમીનાં કારણે દરેકને સ્ત્રી મળી રહેતી હોવાથી સિંગલ પુરુષોની સંખ્યા ઓછી થતી હોવાથી ક્રાઇમ રેટ નીચો જાય છે.

૨) મનૉગમીનો બીજો ફાયદો સ્ત્રીઓ અને છોકરીઓ માટે ફાયદાકારક છે. પૉલીગમીમાં એક પુરુષ અનેકવાર લગ્ન કરતો હોય છે. આમ અનેક સ્ત્રીઓ સાથે લગ્નો એક સાથે તો ના થઈ જાય. પહેલી પત્ની અને છેલ્લી પત્ની વચ્ચે ઉમરનો ખાસો તફાવત રહેવાનો. અનમેરીડ સ્ત્રીઓનો સપ્લાય ઓછો હોય ત્યાં ગમે તે ઉંમરનો પુરુષ હોય નવું લગ્ન યંગ એજની સ્ત્રી સાથે જ કરવાનો. આમ પતિ પત્ની વચ્ચે ઉમરનો તફાવત મોટો થતો જવાનો. જુવાન પત્નીને સાચવવી પણ વધારે પડે. લોખંડી પંજો તેની ઉપર ધરી રાખવો પડે. નહી તો કાગડા અને કોયલ જેવું થાય.

મને એક દાખલો યાદ છે. મારું બચપણ વિજાપુરમાં ગુજરેલું. ત્યાં એક હાઈ-સ્ટૅટ્સ ધરાવતા વ્યક્તિ હતા તેમણે નવ વાર લગ્ન કરેલા. તેમની નવમી પત્ની ખૂબ નાની હતી. આ નવમી પત્નીના ઑરમાન દીકરાઓ એમના કરતા મોટા હતા. અરે એમની ઑરમાન પુત્રવધુઓ પણ એમનાથી મોટી હતી. આમ બહુ મોટી એજ ગેપ અવિશ્વાસમાં પરિણમતી હોય છે ત્યાં ડોમેસ્ટિક વાયલન્સ ખૂબ વધી જતું હોય છે.

સામે છેડે મનૉગમીમાં age ગેપ ઓછી થઈ જતી હોય છે. યુવાન સ્ત્રીઓ પર પ્રેશર ઓછું થતું હોય છે. ઓછી થતી જતી એજ ગેપ લોકશાહી અને સ્ત્રી પુરુષ સમાન છે તે મુદ્દા તરફ લઈ જતી હોય છે.

૩) મનૉગમી ઘરેલું શાંતિ લાવે છે. પૉલીગમસ ઘરમાં અનેક સ્ત્રીઓ એક જ ઘરમાં રહેતી હોય છે. એકબીજા સાથે લોહીના સંબંધ ભાગ્યે જ હોય. આમ આ સ્ત્રીઓ વચ્ચે વિખવાદ કાયમ રહેવાના. હિંસા, મર્ડર, કુડકપટથી ભરેલો રજવાડાઓનો ઇતિહાસ આપણે ક્યાં નથી જાણતા? એમાં રાણીઓ વચ્ચેની હરીફાઈઓ જ મુખ્ય હતી. મનૉગમસ મેરેજમાં આવું બધું સાવ ઓછું થઈ જાય તે સ્વાભાવિક છે.

૪) મનૉગમી  પિતા અને બાળક વચ્ચેના સંબંધો માટે ફાયદાકારક છે. પૉલીગમીમાં પુરુષનું ધ્યાન વધારે ને વધારે સ્ત્રીઓ મેળવવા તરફ વધુ હોય છે. મલ્ટિપલ વાઇવ્સના મલ્ટિપલ ચિલ્ડ્રન્સ પ્રત્યે પિતા પૂરતું ધ્યાન આપી શકતો નથી. મનૉગમીમાં પિતા બાળક પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકે છે.

આમ મનૉગમીમાં પુરુષ એક જવાબદાર પિતા અને પતિ બનવા તરફ વધુ ધ્યાન આપી રહ્યો હોય છે. મનૉગમીનો મુખ્ય ગેરફાયદો એ છે કે એના વડે નવી પેઢીમાં મજબૂત જેનિસ પાસ કરવાનો ઉત્ક્રાંન્તિનો મુખ્ય હેતુ સરતો નથી. મનૉગમી અને લગ્નવ્યવસ્થાને લીધે બીમાર, કમજોર, વિકલાંગ, માનસિક વિકલાંગ, માનસિક બીમારીઓથી પીડાતા, ભયાનક રોગો વડે પીડાતા અને દરિદ્ર જે પોતાના સંતાનોનું પોષણ સરખું કરી શકે તેમ ના હોય તેવાં દરેકને સ્ત્રી મળી જતી હોવાથી પ્રજા ધીમે ધીમે એવી બીમાર જેનિસ ધરાવતી વધતી જ જાય છે.

 

 

 

 


 

જોડે રેજો રાજ-૩ Hard Truths About Human Nature

જોડે રેજો રાજ-૩ Hard Truths About Human Nature.300px-Socrates-Alcibiades[1]

એક નાના બાળકને છોડી માતા જતી રહે તો એને મોટા કરવાની જવાબદારી પિતાના માથે આવી પડે અને પિતા છોડીને જતો રહે તો માતાના માથે તમામ જવાબદારી આવી પડે. આ બધું એકલાં એકલાં કરવું ખૂબ તકલીફ આપે તેવું હોય છે. અને બાળક  મોટું ના થાય તો ઉત્ક્રાંતિનો હેતુ સરે પણ નહિ. બંને જણા એ બાળકમાં ટ્રાન્સ્ફર કરેલા જેનિસ અવર્થે જાય. બેમાંથી એક જણાએ પણ જવાબદારી નિભાવી બાળકને મોટું તો કરવું જ પડે. પણ એમાં બાળકના સર્વાઇવલનો રેટ બહુ ઓછો થઈ જાય. એમાં વળી માનવ બાળક ખૂબ નબળું બીજા પ્રાણીઓના બચ્ચાની સરખામણીએ. આમ ધીમે ધીમે જોડે રહેવાનો સમય વધતો ચાલ્યો. એમાં પાછું બીજું બાળક આવી જાય એટલે પાછું જોડે રહેજો રાજ વધી જવાનું. આમ ધીમે ધીમે લગ્ન વ્યવસ્થાનું સ્વરૂપ ઘડાતું ગયું.

પ્રાચીન ભારતમાં લગ્નવિધિમાં ૧) શિલા અરોહાણમ, ૨) લજ્જા હોમમ્મ, ૩) સપ્તપદી વગેરે મહત્વની વિધિ હતી. તે સમયે પણ દેવતાઓનો ત્રાસ ઓછો નહોતો. આ દેવતાઓ કદાચ સમાજના બહુ મોટા આગેવાનો હોવા જોઈએ. છોકરી જન્મી તો મોટી થાય ત્યારે પહેલો ટેસ્ટ કરવાનો અધિકાર આ ત્રણ દેવતાઓનો રહેતો. આ આર્યમાન, વરુણ અને પુષણ દેવતાઓ બહુ પાવરફુલ હતા. છોકરી ગર્ભ ધારણ કરવા સક્ષમ થાય ત્યાં સુધી આ ત્રણ દેવતાઓની કેદમાં ગણાતી. સમૂહની તમામ માદાઓને ભોગવવાનો પહેલો હક ઍલ્ફા નરનો હોય છે. ઘણા  રાજામહારાજાઓ એમના હરમમાં પુષ્કળ સ્ત્રીઓ ભેગી કરતા.

ચીનમાં રાજા પહેલીવાર એકી સાથે બે સ્ત્રીઓ સાથે પરણે એવો રિવાજ હતો. એટલે જ્યારે વર કન્યાનો હાથ એના પિતા આગળ માંગે તો પિતા કન્યાનો હાથ આપવા તૈયાર તો થઈ જાય પણ પેલાં દેવતાઓ સહેલાઈથી છોડે નહિ. કન્યા ઉપરનો દાવો જતો કરે નહિ. દેવતાઓના પાશમાંથી કન્યાને મુક્ત કરવા એવો ચોક્કસ સમય મુહૂર્ત પસંદ કરવાનું કે દેવતાઓના ચોકીદાર ઊંઘતા  હોય. કન્યા ફૂલનો હાર એકબીજાને પહેરાવીને કે એક્સ્ચેન્જ કરીને વરને સંમતિ આપે કે દેવતાઓના પાશમાંથી મુક્ત કરો. દેવતાઓ મારા વાલા એકદમ છોડે નહિ, ગુસ્સે થાય અટૅક પણ કરે.

એક ઊંચી ખસે નહિ તેવી શિલા ઉપર આરોહણમ કરી લેવાનું. વરુણ પાછો પાણીનો દેવ ઊંચી ખસે નહિ તેવી શિલા યોગ ગણાય. હવે વરકન્યાની મદદમાં કન્યાનો ભાઈ દોડતો આવે. દેવતાઓને ઘીમાં લથબથ ચોખા આપો લજ્જા હોમમ્મ, છોડો મારી બહેનને હું તમને ચોખા મમરા ઘી બધું આપું છું. એકવાર નહિ ત્રણ વાર ઘણી જગ્યાએ ચાર વાર. વરકન્યાના હાથ પકડાવી  અગ્નિની આજુબાજુ ફરીને દેવતાઓને પાછાં કન્ફ્યુજ કરવા પડે. આટલી લાંચ આપ્યા પછી પણ વરુણ કન્યાના વાળ પકડી રાખે, તો વર સેંથામાં સિંદૂર પૂરીને મુક્ત કરાવે. અને પછી સપ્તપદી દ્વારા એકબીજાને સાથ સહકારના વચન અપાય. સમાજના ઍલ્ફા નેતાની પકડમાંથી કન્યાને છોડાવવાની વિધિ સિમ્બૉલિક રીતે લગ્નવિધિમાં પ્રવેશી હોવી જોઈએ.

સમજો લગ્નવ્યવસ્થા એ મનૉગમીની શરૂઆતનું પ્રાથમિક ચરણ છે. મૂળભૂત મોટાભાગના મૅમલ પૉલીગમસ હોય છે. વધારે સ્ત્રીઓ સાથે લગ્નો કરીને પણ પુરુષો પૉલીગમી આચરતા હોય છે. એક સ્ત્રી સાથે ડિવોર્સ  લઈને બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા પણ એકજાતની પૉલીગમી જ થઈ.છતાં એક સ્ત્રી સાથે હોય ત્યારે બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવો નહિ કે રાખી શકાય નહિ તેવા કાયદા મનૉગમીની તરફેણ કરતા હોય છે.

ત્રેતાયુગમાં પેઅર-બૉન્ડિંગ શરુ થયું નહોતું એટલે સંતાનો આખા સમાજના સંતાનો કહેવાતા. દ્વાપરયુગમાં જોડલા બનાવીને રહેવાનું શરુ થયું એટલે સંતાનો માબાપ વડે ઓળખવાની શરૂઆત થઈ ચૂકી હતી. અને કળિયુગમાં લગ્નવ્યવસ્થા સરસ રીતે આકાર પામી ચૂકી હતી તો સંતાનો માતાપિતા વડે ઓળખાતા તો થઈ ગયા સાથે સાથે કાકા, મામા, કાકી, મામી માસામાસી સંબંધો શરુ થઈ ગયા. ભીષ્મ આ બધું જ્ઞાન આપે છે તે દ્વાપરયુગ હજુ ચાલુ હતો અને ભીષ્મ કળિયુગની વાતો પણ કરતા હોય છે. રામ ત્રેતાયુગમાં થયા પણ એમના સીતા સાથે લગ્ન થયા અને એકબીજા પ્રત્યે કમિટમન્ટ પણ દર્શાવે છે. હવે ભીષ્મના કહ્યા પ્રમાણે ત્રેતાયુગમાં પેઅર-બૉન્ડિંગ હતું નથી તો સમજો આ બધી વાતો અને યુગના ઉલ્લેખો એક વર્તુળમાં  સિમ્બૉલિક છે. સમાજનો જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ કૉમ્પ્લેક્સિટિ વધતી જાય છે.

પશ્ચિમમાં લગ્નવ્યવસ્થા તૂટતી જાય છે. એક રીતે એવું પણ કહી શકાય કે તે સમાજમાં ખુલ્લાપણું વધતું જાય છે, ઑપન્નેસ વધતી જાય છે. હવે તે સમાજ કલિયુગ તરફથી દ્વાપરયુગ તરફ કદાચ ત્રેતાયુગ તરફ પ્રયાણ કરી રહ્યો તેમ લાગે છે. ભારતમાં લીવ ઇન રિલેશનશિપને માન્યતા કાયદા દ્વારા આપી દેવાઈ છે. શહેરોમાં એનું પ્રમાણ વધતું જાય છે. અત્યંત ધીમી ગતિએ ભારતીય સમાજ પણ દ્વાપરયુગ તરફ વધી રહ્યો છે. ભીષ્મ પિતામહે બેચાર શ્લોકમાં ઇવલૂશન ઑવ હ્યુમન પેઅર બૉન્ડિંગનું વર્ણન કરી નાખ્યું. પણ જેમ જેમ પેઅર-બૉન્ડિંગ વિકાસ થતો ગયો તેમ એમાં બીજી વ્યક્તિઓની દખલનો વિકાસ કે ઇવલૂશન ઘટતું ગયું. pair-bonding મજબૂત થતું ગયું તેમ માલિકી ભાવના પણ વધતી ચાલી. માલિકી ભાવના વધતી ચાલી તેમ બીજાઓની દખલ ગમે નહિ તે સ્વાભાવિક છે. આ બીજાઓ એટલે જુના મિત્રો અને મહેમાનો પણ હોઈ શકે. આજે પણ કોઈ મિત્ર પરણી જાય તો જુના મિત્રો સાથે સંબંધ ઓછા કરી નાખતો હોય છે, અને જુના મિત્રો કહેતા પણ હોય છે કે સાલો પરણ્યા પછી બદલાઈ ગયો છે.

સૉક્રેટિસ એની પત્ની ઝેન્થીપીને એના ખાસ મિત્ર Alcibiades ને સોંપી દેવા માટે જાણીતો છે. ગ્રીક અને રોમન કલ્ચરમાં આવા અનેક દાખલાઓ છે.   “इष्टान्मित्रान्विभवान्स्वास्चदारान्” જરૂરિયાત સમયે સાચો મિત્ર એને કહેવાય જે પોતાની સ્ત્રી પણ સોંપી દે, આવું ફેમસ ઋષિ સનત્કુમાર ઉદ્યોગપર્વમાં કહે છે. સાચા મિત્રની છ ક્વૉલિટી યુધિષ્ઠીર વર્ણવે છે, જેમાંની છઠ્ઠી ઉપર કહી તે છે. સ્ત્રીને મિત્રોમાં શેઅર કરવી સહજ હતું જેમ આજે ફેસબુક પર ફોટા શેઅર કરીએ છીએ.

પાણિની વ્યાકરણ માટે પ્રખ્યાત છે.  द्वयोर्मित्रयोरंपत्यम्द्वैमित्री અહીં પાણિની કહે છે ગ્રામ-ધર્મ મુજબ એક મિત્ર બીજા મિત્રને એની સ્ત્રી સોંપે અને તે સ્ત્રી ગર્ભવતી થાય અને જે સંતાન થાય તેને द्वैमित्री કહેવાય અને તેની પાલન પોષણની જવાબદારી બંને મિત્રોની ગણાય. ૧૯મી સદી સુધી મિત્ર અથવા મહેમાનની સેવામાં પત્ની મોકલવી આમ વાત હતી. આમાં મહેમાનોની સેવામાં દાસીઓ, નોકરાણીઓ મોકલવાનું પણ સામાન્ય હતું.

imagesCA5GJDC8મહાભારતના અનુશાસન પર્વમાં ઋષિ સુદર્શન એમની પતિને કહે છે ગૃહસ્થ ધર્મ મુજબ મહેમાનને ક્યારેય અસુખ પેદા થવું ના જોઈએ, મહેમાનની ઇચ્છા સમાગમ કરવાની થાય તો મહેમાનને આનંદિત રાખવાના તારા અને મારા ધર્મ મુજબ સમાગમની ના પાડવી નહિ. હવે સુદર્શન ઘરમાં હતા નહિ અને કોઈ મહેમાન આવ્યા હશે તેમની ઇચ્છા સમાગમની પૂરી કરવામાં આવેલી જાણી ઋષિ સુદર્શન એમની પત્નીના આભારી થયેલા કે તે ગૃહસ્થ ધર્મ સારી રીતે બજાવ્યો છે.

ભીષ્મે કહેલી બીજી સ્ટોરી જુઓ- ગૌતમ ઋષિ બહાર ગયેલા હતા. એમની પત્ની સાથે ઇન્દ્ર આવીને સમાગમ કરી ગયો. ઋષિ ગુસ્સે થયા અને એમના પુત્રને એની માતાને મારી નાખવા આજ્ઞા કરી ગુસ્સામાં આશ્રમ છોડી તપસ્યા કરવા વનમાં ગયા. ગુસ્સો શમતા પાછાં આવ્યા તો પુત્રે માતાને મારી નહોતી અને પિતાને સમજાવ્યા કે વિવેકબુદ્ધિ રાખી વિચારો કે માતાએ ફક્ત આતિથ્ય ધર્મનું પાલન કર્યું છે. ઋષિ શાંત પડી ગયા.

ત્રીજી સ્ટોરી રામાયણના ગૌતમ ઋષિની જુઓ એમને એમની પત્નીને અહલ્યાને શિલા પથ્થર બનાવી દીધેલી. ચોથી સ્ટોરી જુઓ જમદગ્નિ ઋષિની પત્ની રેણુકાએ તો કોઈ સમાગમ પણ નહોતો કર્યો ખાલી ચિત્રરથ ગંધર્વ સામે કામાંધ નજરે ફક્ત જોએલું જ. પણ ઋષિ ગુસ્સે થયા અને પુત્ર પરશુરામને આજ્ઞા કરીને રેણુકાનું મસ્તક હણાવી નાખ્યું. આ બધી વાર્તાઓ હકીકતમાં બની કે નહિ તે જવાદો, મૂળ વાત છે જેમ પેર-બોન્ડીંગ વધતું ગયું તેમ વિશ્વાસઘાત શબ્દનું મહત્વ વધતું ચાલ્યું. બેવફાઈ પતિ તો ઠીક પુત્ર દ્વારા પણ સહન કરવામાં આવતી નહિ. પાચમી વાર્તા રામની જુઓ રામને ખબર હતી કે સીતા પવિત્ર છે છતાં અગ્નિપરીક્ષા લીધી હતી.

આમ જોઈએ તો બધા યુગો સતયુગ, ત્રેતા, દ્વાપર, કલિયુગ બધા ઘણીવાર સંગાથે ચાલતા હોય છે.

વધુ પછી—

ઓરલ સેક્સ વિષે કડવું સત્ય.

Oral  sex  વિષે કોઈ અજાણ્યું હોય તેવું આજે સંભવ નથી. ગુજરાતીમાં મુખમૈથુન કહેવાય. છાપાંમાં સેક્સ વિશેની કોલમોમાં એની ચર્ચા ખૂબ થતી હોય છે. ડો પ્રકાશ કોઠારી જેવા સેક્સોલોજીસ્ટ કહેશે જાતીય અંગોની સ્વચ્છતાનું ધોરણ સાચવી ઓરલ સેક્સ કરો તો કશું વાંધાજનક નથી. એક ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટને કોઈએ સવાલ કર્યો કે ઓરલ સેક્સ ચાલુ કોણે કર્યું હશે? એમણે ચિમ્પાન્ઝીના પિતરાઈ બોનોબોનો એક ઓરલ સેક્સ કરતો ફોટો જ મૂકી દીધો. માળાં હારા વાંદરા એ ઓછા નથી!!

ખાજુરાહોનાં ભવ્ય મંદિરોના શિલ્પોમાં મુખમૈથુન દર્શાવતી પ્રતિમાઓ જાણીતી છે. ઓરલ સેક્સ વાજબી છે કે નહિ તેની ચર્ચા આપણે ડોક્ટર્સ અને સંતો ઉપર છોડી દઈએ.  સ્વામી સચ્ચિદાનંદનું એક વ્યક્તવ્ય વાંચ્યાનું યાદ આવે છે. મળમૂત્ર વિસર્જન કરતા અંગો હોય ત્યાં બેક્ટેરિયા વધુ પ્રમાણમાં હોવાના, ત્યાં મોઢાં ઘાલવા એમની(સ્વામીજી) બુદ્ધિમાં ઊતરતું નહોતું, અસ્વાભાવિક લાગે. મને એ વાંચીને તે સમયે ખૂબ હસવું આવેલું. ખાજુરાહોની ઓરલ સેક્સ દર્શાવતી પ્રતિમાઓનું સમર્થન કરનારાઓના કમનસીબે સ્વામીજીની વાત નવા અભ્યાસ મુજબ સાચી પડી રહી છે.

Reverend Bryan Fischer, અમેરિકાના એક જબરાં રેડિયો કૉમેન્ટેટર છે. જોકે એમની નામના ધર્મ અને સંસ્કૃતિના રખેવાળોના વહાલા તરીકેની છે. સજાતીય લગ્નો વિરુદ્ધ સખત ફટકાબાજી કરવા માટે જાણીતા છે. એબોર્શન, નેશનલ હેલ્થકેર, સજાતીય લગ્નો, ગે એડોપ્શન બધાનો સખત વિરોધ કરતા હોય છે. હમણાં તેમણે ડેમોક્રેટ્સ અને ઓરલ સેક્સ ઉપર જબરદસ્ત હુમલો કર્યો. એમના રેડીઓ શોમાં એમણે બે દાવા કર્યા કે ઓરલ સેકસના લીધે અમેરિકામાં head -neck કેન્સરમાં નાટકીય વધારો નોંધાયો છે અને બીજું એમાં બીલ ક્લીન્ટન મુખ્ય ગુનેગાર છે. હહાહાહાં બિચારાં ક્લીન્ટન? મોનીકાનું ભૂત હજુ ધૂણે છે.

Reverend Fischer કહે છે ઓરલ સેક્સ તમારી તંદુરસ્તી માટે હાનિકારક છે. કમનસીબે તેઓ સાચા છે. Throat -mouth કેન્સર વધી રહ્યા છે, દર વર્ષે ૩૫,૦૦૦ નવા કેસ નોંધાય છે. multiple oral sex પાર્ટનર ધરાવનારાઓમાં ગળા અને મુખના કેન્સર વધી રહ્યા છે તેવું ૨૦૦૭ નો એક અભ્યાસ કહે છે. એક બીજો અભ્યાસ જણાવે છે કે oral સેક્સ અને open-mouth kissing, human papillomavirus ને એકબીજામાં ફેલાઈ જવા માટે સગવડ વધારે છે. અભ્યાસ મુજબ ૧૪-૬૯ ઉંમર ધરાવતા ૭ % લોકો oral HPV વડે સંક્રમિત જોવા મળ્યા છે. ઓરલ સેક્સની પોપ્યુલારીટી વધતા અને ખાસ કરીને યુવાન લોકોમાં, ડોક્ટર્સને ત્યાં જાતીય અંગો સ્થિત cold sore herpes જતાવતાં દર્દીઓની સંખ્યા વધવા લાગી. ૧૯૯૩મા (ક્લીન્ટન પ્રમુખ બન્યા) University of Wisconsin માં ૩૧% વિદ્યાર્થીઓ genital sores herpes વડે પીડાતા હતા, ૨૦૦૧મા (ક્લીન્ટને ગાદી છોડી) ૭૮% વિદ્યાર્થીઓ આ ભયાનક રોગ વડે પીડાતા નોંધાયા. જોકે અને દુઃખદ અકસ્માત ગણી શકાય.

google Ngram Viewer મુજબ  જાણવા મળ્યું છે કે અમેરિકામાં ઓરલ સેક્સનું પ્રમાણ બીલ ક્લીન્ટન મોનિકાને મળ્યા તે પહેલા ત્રણ દાયકાથી વધ્યું છે. એટલે એવું કહી શકાય કે ત્રણ દાયકાથી અમેરિકામાં જે મુખમૈથુન વધતા ગયા હતા એના ચક્કરમાં ક્લીન્ટન પણ આવી ગયા, નહિ કે ક્લીન્ટનને કારણે ઓરલ સેક્સમાં વધારો થયો.

હા તો મિત્રો હવે ઓરલ સેક્સ કરવું કે નહિ તમારે જાતે વિચારવાનું છે.

જોડે રેજો રાજ-૨. Hard Truths About Human Nature.

જોડે રેજો રાજ-૨. Hard Truths About Human Nature.

પુરાણોમાં મુક્તાચાર, ભાઈ બહેનના સમાગમ સંબંધો, પોતાની સ્ત્રી મિત્ર કે મહેમાનને અર્પણ કરવી, ગુરુપત્ની સાથે સમાગમ, બહુ પુરુષ ગમન, બહુ સ્ત્રી ગમન, પ્રાણીઓ સાથે સમાગમ, હંગામી સંબંધો, કન્ટ્રેક્ટ મૅરેજ જેવા અનેક દાખલા જોવા મળશે. વસિષ્ઠ અને અગત્સ્ય ઋષિ બંને એક જ માતાના જુદા જુદા પિતા દ્વારા પેદા થયેલા ભાઈઓ હતા. એ સમાજ આજના જેટલો દુષ્ટ ઑર્થોડૉક્સ સમાજ નહોતો. એ સમાજ આજના જેટલો પ્રેમીઓનો દુશ્મન નહોતો.

સ્ત્રી પુરુષના સંબંધોમાં ધીમે ધીમે  ઇવલૂશન થતું ગયું. શરૂમાં આપણે જોયું કે ભાઈ બહેન જ સમાગમ કરીને સંતતિ પેદા કરતા હતા. ચાલો  મહાભારતમાં  શાંતિ  પર્વમાં ભીષ્મ પિતામહ શું કહે છે તે જોઈએ.

नचैषांमैथुनोधर्मोबभूवभरतर्षभ।

संकल्पादेवचैतेषांगर्भःसमुपपद्यते।।  — 12-206-42

ततस्रेतायुगेकालेसंस्पर्शाज्जायतेप्रजा।

नह्यभून्मैथुनोधर्मस्तेषामपिजनाधिप।।  — 12-206-43

द्वापरेमैथुनोधर्मःप्रजानामभवन्नृप।

तथाकलियुगेराजन्द्वन्द्वमापेदिरेजनाः।।  — 12-206-૪૪

 ” હે ભરતશ્રેષ્ઠ, પ્રાણીઓનો વંશ સાશ્વત (ચિરસ્સ્થાયી) બનાવવા માટે સંભોગ જરૂરી નથી. એ દિવસોમાં સંતતિ (સંતાન-અપત્ય-ગર્ભ) સંકલ્પમાત્રથી થતી હતી.

તે પછીનાં યુગ, ત્રેતાયુગમાં, પ્રજા (સંતાન) સ્પર્શમાત્રથી થતી. એ યુગનાં લોકોને, હે રાજન, સંભોગની જરૂર ન હતી.

હે રાજન, દ્વાપરયુગમાં મનુષ્યોમાં સંભોગની ક્રિયાનું પ્રચલન થયું. અને કલિયુગમાં હે રાજન, લોકો લગ્ન કરી અને જોડલું બનાવી રહેતા થયા.”

ભીષ્મ પિતામહ ઉપર મુજબનું જ્ઞાન યુધિષ્ઠિરને આપતા હોય છે. એક નોંધવા જેવી વાત એ પણ છે કે ભીષ્મ પિતામહે પણ આ જ્ઞાન બીજા દ્વારા મેળવેલું છે, લગભગ વ્યાસ દ્વારા. એમના કહેવાનો ભાવાર્થ  એવો છે કે સતયુગમાં સમાગમની જરૂર નહોતી પડતી ખાલી સંકલ્પ કરવાથી સંતતિ પેદા કરી શકાતી, ત્રેતાયુગમાં સંકલ્પથી આગળ વધવું પડ્યું કે સ્પર્શ માત્રથી સંતતિ પેદા કરી શકાતી, દ્વાપર યુગમાં સંભોગ શરુ થયો, પણ હજુ લગ્નવ્યવસ્થા જેવી કોઈ વ્યવસ્થા નહોતી, કળિયુગમાં લોકો લગ્ન કરી જોડલું બનાવીને રહેવા લાગ્યા.

એક વાત નક્કી છે કે સંકલ્પ કે ઇચ્છા માત્ર થવાથી છોકરા પેદા નાં થાય. સ્ત્રી પુરુષના સમાગમ વગર સંતતિ પેદા નાં થાય. ખાલી સ્પર્શ કરવાથી પણ સંતતિ પેદા ના કરી શકાય. વળી આ જ્ઞાન પણ ભીષ્મ પિતામહે બીજા દ્વારા મેળવેલું છે. ઘણી ખોટી માન્યતાઓ હજારો વર્ષોથી ચાલી આવતી હોય છે. જેમ કે પૃથ્વી શેષનાગ ઉપર છે, હર્ક્યુલસે ઉચકેલી છે, સપાટ છે વગેરે વગેરે. હજુ આજે પણ જૈન સાધુઓ માટે પૃથ્વી સપાટ જ છે.

સજીવોના થયેલા ઇવલૂશન મુજબ જોઈએ તો એક કોશી સજીવો માટે સંભોગની ક્યાં જરૂર છે? સંકલ્પ પૂરતો છે એક માંથી બે થવા માટે. તો માછલાં અને તેમના જેવા અનેક સજીવોને પણ કહેવાતા સંભોગની જરૂર નથી હોતી. માદા ઈંડાનો ઢગલો મૂકી દે તેના પર નર આવીને તેના સ્પર્મ છોડીને જતો રહે. આ ખાલી સ્પર્શ જ થયોને? અને બીજા પ્રાણીઓ ક્યાં લગ્ન કરે છે? માનવ પણ હમણાં સુધી લગ્નના બંધન વગર સંતતિ પેદા કરતો જ હતો ને?

સૂક્ષ્મ અર્થમાં જોઈએ તો સતયુગમાં માનવો આદિમાનવ હોવા જોઈએ, અથવા થોડા સુધરેલા. કોઈ જોડી કે પેઅર બૉન્ડિંગ જેવું હશે જ નહિ. બે જણા વચ્ચે ઇચ્છા પેદા થઈ કે સીધા સંભોગમાં ઊતરી જતા હશે. ત્રેતાયુગમાં માનવ આગળ વધ્યો, સ્પર્શ વડે ઇચ્છા જતાવવાનું શરુ થયું હશે. હાથમાં હાથ પકડીને ફરવાનું શરુ થયું હશે. એમાંથી પાણીગ્રહણ વિધિ ઉદ્ભવી હોવી જોઈએ. દ્વાપર યુગમાં કાયદેસર સંભોગ શરુ થયા હશે પણ લોકો જોડીઓ બનાવતા હશે પણ લગ્ન જેવી વિધિ કરતા નહિ હોય. કળિયુગમાં લોકો લગ્ન કરીને જોડી બનાવીને રહેવા લાગ્યા, જે હજુ ચાલુ છે.

આજે આપણે ભાઈ બહેન સંભોગ દ્વારા સંતતિ પેદા કરતા જાણી આંચકો ખાઈ જઈએ છીએ, અરે સમ્રાટ જનમેજય પણ આવી વાતો સાંભળી ધ્રૂજી ઊઠેલા ત્યારે વૈશમ્પાયન ઋષીએ એમને શાંત પડેલા કે ‘હે રાજન ! પ્રાચીન સમયમાં તે યુગ-ધર્મ હતો’

ભીષ્મની વાતો સાવ નાંખી દેવા જેવી નથી. સત્યનો અંશ એમાં જરૂર છે. પૃથ્વી સપાટની  ગોળ ભલે બની પણ પૃથ્વી હતી તો સપાટની ગોળ બની ને? જૈન મુનિઓ માટે પૃથ્વી છે તેટલું જ ગનીમત છે. એક તો પહેલા મજબૂત નરને જ નારી મળે તેવી કુદરતી વ્યવસ્થા હતી. કોઈ લગ્ન વ્યવસ્થા હતી નહિ. ઉદાલક મુનિનો પુત્ર શ્વેતકેતુ ખૂબ નાનો હતો. પણ બુદ્ધિશાળી હતો. એ સમયે લગ્નના પવિત્ર બંધન હતા જ નહિ. એક ઉદાલક કરતા વધારે વિદ્વાન બ્રાહ્મણ આવ્યો અને ઉદાલકની સ્ત્રીને કહે ચાલ મારી સાથે. સ્ત્રી એટલાં માટે લખું છું કે લગ્ન વ્યવસ્થા આવી પછી પત્ની શબ્દ આવ્યો. બ્રાહ્મણોમાં મજબૂત કોણ કહેવાય? જે વધારે વિદ્વાન હોય તે. પેલી નાના શ્વેતકેતુને અને ઉદાલકને મૂકી ને ધરાર ચાલી ગઈ. બસ નાના શ્વેતકેતુનાં મનમાં થયું કે આ કેવું? એણે મોટા થઈને લગ્નવ્યવસ્થાની રચના કરી. અને પવિત્રતાનાં વાઘા પહેરાવી દીધા.

વધુ આવતે અંકે—-

નોંધ:– મિત્રો આ શ્રેણી માટે ઉપયોગી માહિતી પૂરી પાડવા બદલ મિત્રો શ્રી ચિરાગ પટેલ, ડો શ્રી હિતેશ મોઢા અને શ્રી અશોક મોઢવાડીયાનો ખુબ આભારી છું.

“રક્તદાન મહાદાન, ટીપે ટીપે જીવનદાન”

Man with the golden arm

“રક્તદાન મહાદાન, ટીપે ટીપે જીવનદાન”

ઘણા ભણેલા ગણેલા લોકોને પણ પૂરતી માહિતીના અભાવે રક્તદાન કરવાનું આવે તો આઘાપાછા થતા જોયા હશે. કોઈ ગુરુ ઘંટાલને રૂપિયા ધરી દેવા કરતા એક બોટલ લોહીનું દાન કરવું વધુ ઉત્તમ અને વાજબી છે. રક્તદાન બે પ્રકારનું હોય છે, ૧) whole blood donations ૨) plateletpheresis donations . પહેલા પ્રકારના બે રક્તદાન વચ્ચેનો સમયગાળો ૫૬ દિવસનો હોવો જોઈએ અને બીજા પ્રકારના બે રક્તદાન વચ્ચેનો સમયગાળો ત્રણ દિવસનો હોવો જોઈએ તેવો યુ.એસ.માં નિયમ છે. ટૂંકમાં ૫૬ દિવસે ફરી રક્તદાન કરી શકાય છે. સ્ત્રીઓ  દર ચાર મહીને અને ૧૬-૧૭ વર્ષના યુવાનો દર છ મહીને રક્તદાન કરી શકે છે.

Man with the golden arm તરીકે ઓળખાતો ઑસ્ટ્રેલિયાનો James Harrison આશરે ૨૦ લાખ બાળકો જે Rhesus disease વડે પીડાતા હતા તેમને પોતાના રક્તદાન વડે જીવન આપવામાં કારણભૂત બન્યો છે. ૧૯૩૬માં જન્મેલો જેમ્સ ૧૩ વર્ષની વયે ફેંફસાની સર્જરી માટે દાખલ થયેલો ત્યારે તેને ૧૩ લીટર લોહીની જરૂર પડેલી. એને સમજાઈ ગયું કે રક્તદાન મહાદાન છે અને જીવનદાન આપી શકે છે. ૧૮ વર્ષનો થયો અને તેણે રક્તદાન આપવાનું શરુ કરી દીધું હતું. ૫૬ વર્ષની ઉંમર સુધીમાં તેણે એક હજાર વખત રક્તદાન કરેલું છે. તેના બ્લડમાં Rhesus disease વિરુદ્ધ ભાગ્યેજ ઉપલબ્ધ એવા એન્ટીબોડી હોવાથી આજ સુધી બે મિલિયન બાળકોને જીવનદાન આપવા સક્ષમ બન્યો છે.

હા! તો મિત્રો રક્તદાન કરો, ચા કોફી સાથે બે ચાર બિસ્કુટ ખાઈને કોઈનું જીવન બચાવવામાં કારણભૂત થવાના છીએ તેવું વિચારી ખુશ થાઓ.

શા માટે છોકરાઓ એમના યૌન શોષણની વાત છુપાવતા હશે?

શા માટે છોકરાઓ એમના યૌન શોષણની વાત છુપાવતા હશે?Hard Truths About Human Nature.

જાતીય શોષણ કોઈનું પણ થાય છોકરો હોય કે છોકરી બાળક હોય કે યુવાન, તેઓ મોટાભાગે આ વાત છુપાવતા હોય છે. અનિચ્છાએ સર્જાતા કોઈ પણ વચ્ચેના જાતીય સંબંધને શોષણ જ કહેવાય. નાના બાળકોનું જાતીય શોષણ થાય ત્યારે તેઓ કશું બોલી શકતા નથી, કોઈને કહી શકતા નથી. મોટેરાં એમની વાત સાચી નહીં માને તેવો ડર હોય છે અને સાથે સાથે યૌન શોષણ કરનાર વ્યક્તિની આપેલી ધમકી પણ કામ કરી જતી હોય છે. છતાં એવું જાણવામાં આવ્યું છે કે છોકરીઓના થયેલા જાતીય શોષણ વધુ બહાર આવી જાય છે છોકરાઓના ઓછા બહાર આવે છે.
Penn State sex abuse scandal હમણાં બહુ ચગ્યું હતું. ફૂટબોલ કોચ Jerry Sandusky પંદર વર્ષમાં આશરે દસ છોકરાઓનું યૌન શોષણ કરી ચૂક્યા હતા. યૌન શોષણ ખાલી છોકરીઓનું જ થાય તેવું નથી હોતું. છોકરાઓનું પણ યૌન શોષણ થતું હોય છે પણ જલદી બહાર નથી આવતું. Karyl Mcbride , Ph.D. કહે છે એમને છોકરાઓ પાસેથી એમના થયેલા યૌન શોષણ વિશેની માહિતી કઢાવતા તકલીફ પડતી હોય છે. એક તો લોકો માનવા તૈયાર હોતા નથી કે જાતીય શોષણ થયું છે, બીજું સમજવું મુશ્કેલ કે અજુગતું લાગતું હોય છે કે પુખ્ત વયના લોકો નાના બાળકો પ્રત્યે જાતીય આકર્ષણ અનુભવી શકે છે. અમેરિકાની જેલોમાં યૌન શોષણના ગુનામાં સંડોવાયેલા કેદીઓના થયેલા અભ્યાસ મુજબ છોકરા છોકરીઓના યૌન શોષણમાં વધારો નોંધાયો છે અને એમાં પણ છોકરાઓના શોષણ થયા હોવા છતાં એમના રિપોર્ટ બહુ નોંધાતાં નથી તેવી હકીકત પણ સામે આવી છે.
એક તો એક નાનું બાળક એના પર થયેલા યૌન શોષણ વિષે વાત કરવામાં ખૂબ મુશ્કેલી અનુભવતું હોય છે. એક તો પોતે ગિલ્ટી ફીલ કરતું હોય છે, બીજું શોષણ કરનારાની ધમકી સામે ઊભી હોય છે, અને બીજો ડર હોય છે કે કોઈ એમની વાત માનશે નહિ. વધારામાં એમના કુટુંબમાં કોઈ પ્રૉબ્લેમ ઊભો થાય તે ઇચ્છતાં હોતા નથી. આ કારણો સામાન્ય છે, પણ ભોગ બનનાર છોકરાઓ માટે થોડા વધારાના કારણો જોઈએ કે કેમ છોકરાઓ જલદી જણાવતા નથી.
૧) આપણાં કલ્ચરમાં પુરુષો શોષિત થવા માટે સર્જાયા નથી તે વાત માનસિકતામાં ઘૂસેલી હોય છે. એટલે પહેલું તો identity of manhood પર ખતરો લાગી જાય છે. જો હું શોષિત હોઉં તો પુરુષ હોઈ શકું ખરો?
૨) પુરુષપ્રધાન સમાજમાં પુરુષ માટે મદદ માંગવી નબળાઈની નિશાની ગણાય. મુશ્કેલ પરિસ્થિતિમાંથી લડીને બહાર આવવાનું  હોય મદદ માંગવાની ના હોય. ફેમિલી થેરાપીસ્ટ Terry Real  મેલ ડિપ્રેશન પર લખતા આ માનસિકતા વિષે એમના પુસ્તકમાં (I Don’t Want To Talk About It) સારી એવી ચર્ચા કરે છે.
૩) જેમ કેટલાક લોકોને Hemophobia હોય છે, તેમ આપણી સંસ્કૃતિને Homophobia લાગેલો  છે. આપણો સમાજ મહદંશે હોમોફોબીક છે. એટલે જ્યારે કોઈ છોકરાનું યૌન શોષણ થાય છે ત્યારે એની sexual idenity પર સવાલ ઊભો થઈ જતો હોય છે. છોકરાઓને સવાલ સતાવતો હોય છે કે જો તે પુરુષ હોવા છતાં બીજા પુરુષ દ્વારા યૌન શોષણ ભોગ બને તો એનો અર્થ  શું તે gay છે ? અમેરિકામાં ૮-૧૦ વર્ષના શોષિત છોકરાઓ દ્વારા આવા સવાલ એમની સારવાર કરનારને પૂછવામાં આવેલા છે. લોકો મને ‘ગે’ તો સમજી નહિ લે ને? આવો સવાલ ઊઠતા નાના છોકરાઓ ચુપ રહીને સહન કરવાનું શીખી લે છે નહિ કે ફરિયાદ કરવાનું. gay નું લેબલ લગાવતા આપણાં સમાજને જરાય વાર લાગતી નથી.  બસ આ લેબલના ડરે છોકરાઓ છોકરીઓના પ્રમાણમાં વધુ ચુપ રહેતા જોવા મળ્યા છે. હેમોફોબિયા એટલે લોહી જોઇને ચક્કર આવી જાય, ગભરાઈ  જવાય અને હોમોફોબિઆ એટલે gay અને લેસ્બીયન લોકો પ્રત્યે નેગેટિવ નફરતની લાગણી.
૪)જ્યારે યંગ છોકરાના genital એરિયાને સ્પર્શ કરવામાં આવે છે ત્યારે erection થતું હોય છે જે દેખાતું હોય છે, આવું ફીમેલ વીકટીમમાં  થતું નથી, એટલે કે દેખાતું નથી.  સ્પર્શ બંનેને છોકરો હોય કે છોકરી આનંદ અર્પતો હોય છે, અને કારણમાં ગ્રેટ કન્ફ્યૂજન પેદા થતું હોય છે. ” Did I want this?” ” If it feels good, is it my fault?” ” If there is pleasure, I must be the one in the wrong.”
૫) સ્ત્રીઓ દ્વારા પણ છોકરાઓનું યૌન શોષણ થતું હોય છે. કોઈ ઉંમરલાયક સ્ત્રી દ્વારા કોઈ છોકરાનું જાતીય  શોષણ થાય તો એને લકી માનવામાં આવતો હોય છે. અને એમાં શોષણ કરનાર પોતે બાળકની માતા હોય તો તમે કલ્પના કરી શકો કે રિપોર્ટ કરવો કેટલો મુશ્કેલ, પેલાં નાના બાળક માટે તારાજી ઊભી કરવાની? આવા દાખલા ભારતમાં બહાર આવવું મુશ્કેલ છે. અમેરિકામાં સ્ત્રી દ્વારા છોકરાઓના યૌન શોષણનાં દાખલા બહાર આવી જાય છે. એમાં મોટાભાગે છોકરાઓ મોટા થઈ ગયા પછી કેસ કરતા હોય છે. એમાં પૈસા પડાવવાની દાનત પણ હોય છે. છતાં એમની નાની ઉમરમાં પુખ્ત સ્ત્રી દ્વારા યૌન શોષણ થયું હોય છે તે હકીકત ભૂંસાઈ નથી જવાની. ન્યુયોર્કમાં એક પંજાબી મહિલા શિક્ષિકાએ સ્કૂલમાં ભણતા નાના છોકરાઓનું યૌન શોષણ કરેલું. વર્ષો વીતી ગયા. છોકરાઓ યુવાન થઈ ગયા અને પોલીસમાં ભરતી પણ થઈ ગયેલા. ત્યાર પછી પેલી મહિલા ટીચર પર કેસ કરેલો. એને જેલમાં જવું પડેલું.
૬) અસહાયતા અને અગાઉ જણાવ્યું તેવા કન્ફયુઝન ફીલિંગ્સનો પ્રભાવ ઓછો કરવા છોકરાઓ એમનું શોષણ થયું છે તે કહેવા કે માનવા તૈયાર થતા નથી.
જો હું બીગ ટફ guy હોઉં તો મારી સાથે આવું બન્યું નથી, આ લાગણી છોકરાઓની હોય છે. અસહાયતાની લાગણીને જીતવા વધુ અગ્રેસીવ બનતા હોય છે. અથવા તો ડ્રગ કે આલ્કોહોલ લઈને લાગણીઓ પ્રત્યે numb બનતા હોય છે. છેવટે ડીપ્રેશનમાં ફસાઈ જતા હોય છે. છોકરાઓને વધુને વધુ realistic બને તેવું શિક્ષણ આપવું જોઈએ. તેમની સાથે પણ યૌન શોષણ થઈ શકે છે તેને બહાર લાવવું જોઈએ તેવું ઠસાવવું પડે. યૌન શોષણ વિષે એજ્યુકેશન બાળકો તથા એમના વાલીઓને આપવું જોઈએ. સેક્સ ઓફેન્ડર આપણાં કલ્ચરમાં નાર્સિસ્ટિક આત્મશ્લાઘાની વિકૃતિ વળગેલા લોકો હોય છે. એમનામાં સહાનુભૂતિ, તાદાત્મ્યનો અભાવ જોઈ શકાય તેવો હોય છે.

મૃત્યુને પેલે પાર

મૃત્યુને પેલે પાર
  મૃત્યુ પછીના જીવનમાં માનવું ભારત માટે નવું નથી. આપણે ભારતીયો સતત પરલોકની ચિંતા કરતા હોઈએ છીએ. પુનર્જન્મ થવાનો જ છે એવી માન્યતાએ ભારતને સાવ  ધીમું પાડી દીધું છે. આજે નહિ તો કાલે અને આ જન્મે નહિ તો આવતે જન્મે કામ પૂરું કરીશું. નવા જન્મે સુખી થવા માટેની ચિંતા અને પળોજણમાં લગભગ હાલનો જન્મ બગાડીએ છીએ. ક્યારેક કોઈને એક્સીડેન્ટ થાય તો મોતના અનુભવ લઈને પાછાં આવ્યાના દાખલા પણ ચર્ચાતા હોય છે. શરીરમાંથી જીવ બહાર નીકળી ગયાનો અનુભવ પણ ઘણાને થતો હોય છે, અને જીવ પાછો શરીરમાં આવી જતો હોય છે. જીવ ક્યાંક મુસાફરી કરીને પાછો આવ્યાની અનુભૂતિ ઘણા વર્ણવતા હોય છે. આવા અનુભવને near-death experience (NDE)કહેવાય છે. આવા પારલૌકિક અનુભવ ખાલી ભારતમાં થાય છે તેવું પણ નથી. ૧૮ મિલિયન અમેરિકનો આવો અનુભવ થયાનું કબૂલે છે. હવે અમેરિકાના એક કરોડ કરતા વધુ અને ભારતના એક અબજ કરતા વધુ લોકો માનતા હોય કે આત્મા શરીર છોડી જાય છે અને ભગવાનને મળવા જાય છે કે મળે છે કે એવા બીજા અનેક  પૂરાવા રજૂ કરવાથી આ બધી બાબતો સત્ય બની જતી નથી. લોકો એમને થયેલા અનુભવો વિષે ખોટો અર્થ કરી લેતા હોય છે, વિપર્યાસ કરતા હોય છે. optical illusion આનું બહેતર ઉદાહરણ છે. બ્રેઈનમાં મૅમરી સ્ટોર થયેલી હોય છે તે જેવી માહિતી બહાર મોકલે તેવું ઘણીવાર દેખાતું હોય છે. એટલે કહેવત છે કે ઘણીવાર આંખે જોયેલું પણ સાચું હોતું નથી. હમણાં હું મારા શ્વશુરને ઘેર ગયેલો. બારણું ખોલતા અંદર જરા અંધારાં જેવું હોય તે સ્વાભાવિક હતું. અંદર દૂર મારા શ્વસુરજી ઉભા હતા પણ મને ક્ષણવાર માટે એમના બદલે મારા સાળાશ્રી જણાયા. બ્રેઇને  આંખો દ્વારા મળેલી માહિતીનું ખોટું પ્રોસેસિંગ ક્ષણવાર માટે કરી નાખ્યું. આખો દિવસ મંદિરમાં મૂર્તિઓ આગળ કાલાવાલા કર્યા હોય તો ભગવાન દેખાઈ જાય તે સ્વાભાવિક છે. રામકૃષ્ણ પરમહંસને મહાકાલી સાથે વાતો કરવાના ભ્રમમાંથી મુક્ત કરવા માટે યોગીરાજ તોતાપુરી સ્વામીને સારી એવી તકલીફ પડેલી.
     Kevin Nelson (The Spiritual Doorway in the Brain) નોંધે છે કે હ્રદયમાંથી ધકેલાતું ૨૦ ટકા બ્લડ સીધું બ્રેઈન તરફ જાય છે. બેભાન થતા પહેલા ઘણીવાર આ બ્લડ ફ્લો ૬ % સુધી ઘટી શકે છે. જ્યારે બ્લડ પ્રેશર ખૂબ નીચું જતું રહે અને નબળાઈને કારણે મૂર્છા આવે ત્યારે હૃદય સાથે સીધું જોડાણ ધરાવતી મોટી vagus nerve સભાન અવસ્થાને REM sleep તરફ વાળી મૂકે છે. જોકે બધા લોકોને આવું સીધી રીતે REM sleep તરફ વળવાનું શક્ય નથી બનતું, પણ ઘણા બધા ઝટ અસર થાય તેવા વિવિધ  આભાસ થતા હોય છે, આને REM intrusion કહે છે. જાગૃત અને ઊંઘ વચ્ચેની અવસ્થા દરમ્યાન આવું ખાસ થતું હોય છે. રેમ અવસ્થા એટલે આપણે ઊંઘમાં સ્વપ્ના જોતા હોઈએ તે અવસ્થા કહેવાય અને આ અવસ્થા સમયે શરીર સાવ શીથીલ થઈ જતું હોય છે. આ સ્વપ્નાવસ્થા અને જાગૃત અવસ્થા વચ્ચે ઝોલા ખવડાવતું મીકેનીઝમ NDEs  અનુભવની વાતો કરનારા લોકોમાં પણ કામ કરતું હોય છે.  rem intrusion દરમ્યાન લકવો (sleep paralysis )થઈ ગયો હોય તેવો અનુભવ થતો હોય છે. આમાં સંપૂર્ણ જાગૃત હોઈએ તેવા અનુભવ સાથે ભારવિહીન હોઈએ તેવું લાગે, શરીરની બહાર હોઈએ તેવા અનુભવ સાથે દિગ્મૂઢ થઈ જવાય. રેમ સ્લિપ દરમ્યાન બ્રેઈનના પ્લેઝર સેન્ટર ઉત્તેજિત થતા હોય છે, એના લીધે  એક પરમ શાંતિ અને એકતાનો અનુભવ પણ થતો હોય છે જે NDEs દરમ્યાન પણ નોંધાયો છે. ઊંઘના ચાર તબક્કાઓ હોય છે. પહેલા ત્રણ ભાગને NREM- Non Rapid eye movement  સ્લિપ કહેવામાં આવે છે, અને ચોથા તબક્કાને REM એટલે કે Rapid eye movement કહેવામાં આવે છે. NREM નો ત્રીજો તબક્કો ઊંડી ઊંઘનો છે. ત્યાર પછી રેમ આવે તેમાં આંખો કશું જોઈ રહી હોય તેમ પોપચાં પાછળ ઝડપથી ફરતી હોય છે, સપના જોવાના શરૂ થઈ ચૂક્યા હોય છે.  ઊંઘવા માંગતો વ્યક્તિ ધીમે ધીમે ચોથા રેમ તબક્કામાં  પ્રવેશ કરે અને તરત જાગી જાય ત્યારે પણ  ઉપર મુજબનો અનુભવ થતો હોય છે.
Near-Death experiences વખતે કોઈ ટનલ, બોગદામાંથી પસાર થતા હોય તેવા લાખો અનુભવ પણ નોંધાયા છે. મૂર્છા પામતા પહેલા “tunnel vision ” અનુભવમાંથી પસાર થયાના દાખલા ખૂબ જાણીતા છે. નેત્રપટલનાં કેન્દ્ર કરતા એના પરિઘ તરફ બ્લડ ફ્લો વધારે ઓછો થતા દ્ગષ્ટિ ફલક કોમ્પ્રેસ્ડ થાય છે, અને તેના લીધે ટનલ વિઝન ઇફેક્ટ પેદા થતી હોય છે એવું  Neurophysiology નું માનવું છે. મૂળ આંખો તરફ લોહી ઓછું વહે તેમાં આવી ઇફેક્ટ પેદા થતી હોય છે.
     બીજો NDEs વિશેનો અનુભવ  શરીરની બહાર હોઈએ તે છે. આત્મા શરીર બહાર નીકળી ગયો છે તેવો અનુભવ થતો હોય છે. આ પણ એક જાતનું ઇલ્યુઝન છે. અચાનક જાગી જવાથી, એનિસ્થીઝયામાંથી બહાર આવતા, આંચકી કે તાણ આવે ત્યારે, માઇગ્રેન  થાય  ત્યારે ઘણાને આત્મા શરીરમાંથી બહાર નીકળી ગયો હોય તેવા અનુભવ થતા હોય છે. હવે આ બધા કારણો વખતે આત્મા શરીર બહાર નીકળી જાય તેવું માનવાને કોઈ કારણ નથી. ૧૯૫૦મા Penfield નામના ન્યુરોસર્જન seizures ઉપર સંશોધન કરી રહ્યા હતા. બ્રેઇનમા ટ્યુમર હોય કે કોઈ જખમ થયો હોય તે seizure માટે કારણભૂત છે કે નહિ તે વિષે સંશોધન કરતા હતા. બ્રેઈનના cerebral cortex નો તાગ મેળવવા એમણે સેંકડો જાગૃત દર્દીઓના બ્રેઈનને stimulate કરેલા. બ્રેઈનમાં આપણું ફીજીકલ બોડી ક્યાં છે તેનો તાગ મેળવવો હતો.
  એક પેશન્ટ temporal lobe seizures વડે પીડાતો હતો. Penfield વિદ્યુત કરંટ વડે દર્દીના બ્રેઈનને ઉત્તેજિત કરતા હતા. આ દર્દીના temporoparietal region stimulate કરતા દર્દીને લાગ્યું એનો આત્મા શરીર બહાર આવી ગયો છે. અને stimulation બંધ કરતા આત્મા પાછો શરીરમાં આવી ગયો છે તેવો  અનુભવ થયો. હવે ન્યુરોલોજીસ્ટ જાણી ચૂક્યા છે કે બ્રેઈનનો temporoparietal region  શરીરની રૂપરેખા કે નકશાને સંભાળવાનું કામ કરે છે. જ્યારે બહારથી આ વિભાગને કરંટ આપવામાં આવે છે ત્યારે તે કામ કરવાનું બંધ કરતા શરીરનો નકશો મન કે દ્ગષ્ટિ આગળ તરવા લાગે છે.  બ્રેઈનમાં  temporoparietal region આપણાં શરીરની રૂપરેખાનું પ્રતિનિધિત્વ કરે છે. આઈરીશ લેખક ક્રિસ્ટી બ્રાઉન આખા શરીરે લકવા ગ્રસ્ત હતો. જન્મથી દસ વર્ષ સુધી એને મેન્ટલી  રીટારડેડ સમજવામાં આવ્યો હતો. એ બોલી પણ ના શકતો. એનું બ્રેઈન ફક્ત ડાબા પગને જ કંટ્રોલ કરી શકતું હતું. ચાલી પણ ના શકતો. એણે ડાબા પગ વડે ચિત્રો દોર્યા, જુના જમાનાનું ટાઇપ રાઈટર ચલાવ્યું ને મોટો લેખક બની ગયો. સેરેબ્રલ પાલ્સીનો એ શિકાર હતો. બ્રેઈનનો આ  વિભાગ શરીરનું બેલેન્સ જાળવવાનું કામ કરે છે. બાળકને જન્મ સમયે ઓક્સિજન  એટલે કે શ્વાસ   લેવામાં કોઈ ગરબડ ઊભી થાય કે આચકી આવે તો આ સેરેબ્રલ  વિભાગમાં ગરબડ થાય છે. આમ બ્રેઈન ચાલતું હોવા છતાં શરીરને સેરેબ્રલ વિભાગમાં ખામી હોવાથી કોઈ આદેશ આપી શકતું નહોતું. stephen hawking પણ હાલ એવી હાલતમાં છે. એમનું શરીર બ્રેઈનનાં કોઈ મેસેજ લઈ શકતું નથી. આમ જુઓ તો એમનો આત્મા શરીર બહાર કાયમ સ્થિત હોય તેવું જ છે ને?  temporoparietal region માં કશી ગરબડ થતા કે ઈજા થતા આત્મા શરીર બહાર નીકળી ગયો છે તેવું લાગતું હશે. એક તો આપણે આત્મા, પરમાત્મા અને પુનર્જન્મ જેવી માન્યતાઓમાં અગાઉથી સંપૂર્ણ રત હોઈએ અને આવી કોઈ ઈજા થાય અને શરીર હલનચલન કરવા હંગામી અસમર્થ બની જાય ત્યારે પેલી પૂર્વગ્રહિત ધારણાઓ પણ આત્મા બહાર નીકળી ગયો છે તેવું માનવા પ્રેરતી હોઈ શકે.
સપના પણ આવી બાબતોમાં ખૂબ મહત્વનું કામ કરતા હોય છે. ઘણા લોકો સપનાને સત્ય સમજતા હોય છે. અથવા એ બહાને લોકોને લલ્લુ બનાવતા હોય છે. અમારા એક વૃદ્ધ સંબંધી મહિલા ઘણીવાર લોકોને લલ્લુ બનાવતા કહેતા કે આજે કાનુડો મને મળવા આવેલો. પછી ખબર પડી કે સપનામાં કાનુડો આવેલો. ખરેખર કાનુડાનું સપનું પણ આવ્યું હશે કે કેમ? પણ લોકો એમની પાસે કશી શક્તિ છે સમજી પુછવા આવતા. ઘણીવાર મૃત સગા સપનામાં આવે તો ભૂત થયા છે તેવું પણ લોકો માનતા હોય છે. સપનામાં આવતી મૃત વ્યક્તિઓના લીધે પણ પુનર્જન્મ છે તેવી ધારણા બંધાઈ જતી હોય છે. ટ્રેડિશનલ સમાજોના મોટાભાગના રીલીજીયસ આઈડીયા સપનાઓની પેદાશ છે તેવું Jackson Steward Lincoln અને  Sir Edward Tylor (The dream in Native American and other primitive cultures)કહે છે. સપનામાં જોએલી વાતો ધાર્મિક રીતિ રિવાજ બની જતી હોય છે.
ભગવાન, એન્જલસ, ભૂત, મૃત્યુ પામેલા પૂર્વજો આવી અદ્રશ્ય ગણાતી વ્યક્તિઓ  શા માટે દેખાતી હશે? આવી બધી બાબતોમાં માનવું ઉત્ક્રાન્તિના વારસામાં જન્મજાત મળેલું હોય છે. The Oxford psychologist Justin Barrett has suggested that the prevalence of beliefs of this kind may in part be explained by our possessing a Hyper-sensitive Agent Detection Device, or H.A.D.D. આપણે આસપાસની દુનિયાનું બે રીતે પૃથક્કરણ કરતા હોઈએ છીએ એક તો કુદરતી કારણો વિચારીને  અને બીજું વ્યક્તિને અનુલક્ષીને વિચારતા હોઈએ છીએ. દાખલા તરીકે વૃક્ષ ઉપરથી કેરી નીચે પડી તો એક કારણ એવું હોય કે પવન આવ્યો અને કેરી નીચે પડી ગઈ બીજું કારણ એવું હોય કે મગનભાઈને કેરી ખાવાનું મન થયેલું એમણે વૃક્ષ હલાવ્યું અને કેરી નીચે પડી. આપણે જે વાતાવરણમાં જીવીએ છીએ ત્યાં આસપાસ અસરકર્તા બહુબધા વ્યક્તિઓ રહેતા હોય છે. ફેમિલી મેમ્બર્સ, મિત્રો, દુશ્મનો, હરીફો, હુમલાખોરો, શિકાર અને શિકારી આવા અનેક આસપાસ હોય છે. આપણે આવા પ્રતિનિધિઓ બાબતે વધારે પડતા સેન્સીટીવ, ઓવર સેન્સીટીવ બનવા ઇવોલ્વ થયેલા છીએ. એમને જાણવા અને ઓળખવા સર્વાઈવલ અને રીપ્રોડક્શન માટે મદદરૂપ થતું હોય છે. એટલે પાછળ કોઈ સુસવાટા મારે કે પવન જોરથી આવે તો આપણે તત્ક્ષણ પાછાં ફરીને કોઈ છે કે નહિ તે જોવાનો પહેલો પ્રયાસ કરીશું. પહેલો વિચાર એવો નહિ આવે કે ખાલી પવન છે. આમ કાલ્પનિક અસંખ્ય પ્રીડેટર વિષે વિચારવું બહેતર બની જાય એક રીયલ પ્રીડેટરનાં મુખમાં સ્વાહા થઈ જવા કરતા. Thus evolution will select for an inheritable tendency to not just detect – but over detect – agency. We have evolved to possess (or, perhaps more plausibly, to be) hyper-active agency detectors. એટલે ભલે કોઈ ના દેખાય પણ કોઈ છે  તેવું વિચારવા આપણે ઇવોલ્વ થયેલા છીએ. આ વલણનાં લીધે સ્પીરીટ, ઘોસ્ટ, એન્જલસ, ભગવાન, રાધાકૃષ્ણના રાસ બધું દેખાતું હોય છે. કેટલાક સ્માર્ટ લોકો આ ખૂબીનો દુરુપયોગ કરીને ખૂબ રૂપિયા કમાય છે જેને આપણે ધર્મગુરુ કે કથાકાર કહીએ છીએ.