All posts by Bhupendrasinh Raol

વિચારવાની બારીઓ ખોલીને બેઠેલો સીધોસાદો માનવી.

ધાવણ અને બ્રેન (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી) -૨

 ધાવણ અને બ્રેન  (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી) -૨
અમારી રેડબડ ગામ ગપાટા મંડળીના બધા સભ્યો કાયમ હાજર હોય તેવું બનતું નહિ. કોઈ ને કોઈ તો ગેરહાજર હોય જ. આતો કામગરો દેશ છે કોઈને અહીં ગપાટા મારવાની નવરાશ હોય નહિ. એટલે જે કામ પતાવીને આવ્યા હોય કે રિટાયર હોય તેવા મિત્રો ભેગાં થઈ જતા. images9ZS5HX7Y

કમુબેન અને મંજુબેન એમના દીકરાઓને હેલ્પ થાય તે માટે ભારતથી અહીં રહેવા આવી ગયેલા હતા. આ દેશમાં પતિપત્ની બંને જૉબ કરતા હોય એટલે નાના બાળકોને સાચવવા બેબીસીટર રાખવી પડે. સરવાળે તે મોંઘું પણ પડે. વધુમાં દાદી સાથે લોહીનો નાતો હોય એટલે બાળકો સાથે લાગણીનાં તંતુ વડે જોડાયેલ દાદીની દેખભાળમાં આભ જમીનનો ફેર પડી જાય. માબાપ પણ ઇન્ડિયામાં એકલાં રહેતા હોય તો એમની ચિંતા કાયમ કરવી એના કરતા અહીં જોડે રહે તેમાં શું વાંધો? અરસપરસ બધાનું હિત જળવાઈ જાય. આમ તમને ભારતમાં સંયુક્ત કુટુંબ જોવા કદાચ ઓછા મળે પણ અહીં રહેતા ભારતીયોમાં સંયુક્ત કુટુંબ વધુ જોવા મળે તેવું પણ બને.

શાંતિભાઈ સાંજે ચાર વાગે જૉબ પરથી છૂટી જાય એટલે ઘેર આવી ચાપાણી પતાવી ફરવા નીકળી પડે. એમનો અભ્યાસ અને વાંચન પણ બહોળું છે. અંબુકાકા પોતે ભરૂચમાં એક સ્કૂલમાં હેડમાસ્તર હતા. નાના દીકરાને ઘેર તે અને તેમના શ્રીમતી રહે છે. એક દીકરો એના બાલબચ્ચાં સાથે બીજે રહે છે. દીકરી જમાઈ પણ બીજે રહે છે. શનિ-રવિ એકબીજાના ઘેર ભેગાં થઈ એમનું કુટુંબ કિલ્લોલ કરતું હોય છે. કાલની જેમ આજે પાછાં અમે ચાર જણા ભેગાં થઈ ગયા.

થોડી ગપસપ પછી કાલની વાત આગળ વધારતા શાંતિભાઈ બોલ્યા, ‘ માતા જ્યારે બાળકને ધવડાવતી હોય ત્યારે માતા અને બાળક બંનેના બ્રેનમાં ઓક્સીટોસીન નામનું ન્યુરોકેમિકલ પુષ્કળ પ્રમાણમાં સ્ત્રવતું હોય છે જે માતા અને બાળક વચ્ચે સામાજિક જોડાણ પાકું કરે છે. બીજું માતાનું ધાવણ બાળકના બ્રેન વિકાસ માટે મહત્વનું છે. ફૉર્મ્યુલા ફીડીંગ ડાયાબીટીસ અને બીજા રોગોનું કારણ બની શકે છે. ઓક્સીટોસીન પ્રેમ અને વિશ્વાસ માટે કારણભૂત કેમિકલ કહેવાય છે.’

મેં કહ્યું મતલબ તમે બાળકને પૂરતું ધવડાવ્યું નાં હોય તો માતા અને બાળક વચ્ચે સામાજિક બૉન્ડ જોઈએ તેવું સખત બને નહિ તેવું કહી શકાય.

શાંતિભાઈ કહે, ‘અપવાદ રૂપ કિસ્સા હોય બાકી સરેરાશ જુઓ તો જે બાળકો માતાને વધુ સમય ધાવ્યા હોય અને જે બાળકો ઓછો સમય ધાવ્યા હોય તેમના એમની માતા સાથેના સામાજિક સંબંધોમાં ફેર તો રહેવાનો જ. Bryan Rodgers નામના મેડિકલ સંશોધકે ૮ થી ૧૫ વર્ષના ૨૦૦૦ બાળકોના જ્ઞાનભંડોળ વિષે ચકાસણી કરી એક અભ્યાસ કરેલો. જે બાળકો સમગ્રતયા બોટલ ફીડીંગ પર ઊછરેલા તેમનો જ્ઞાનભંડોળનો સ્કોર માતાના દૂધ સાથે ઊછરેલા બાળકો કરતા થોડો ઓછો હતો. માતાનાં દૂધ પર ઊછરતા ૬ મહિના થી ૨ વર્ષની ઉંમર સુધીના બાળકોનાં મેન્ટલ ફંક્શન પણ બોટલ-દૂધ પર ઊછરતા બાળકો કરતા વધુ નોંધાયા છે.’

વધુમાં શાંતિભાઈએ ઉમેર્યું, “ઘણી માતાઓ ચાર-છ  મહિના ધવડાવી બાળકોને બોટલ પર ચડાવી દેતી હોય છે. માનવવંશ શાસ્ત્ર અને પુરાતત્ત્વવિદ્યા જેવી અભ્યાસની શાખાઓ તરફથી મળેલા પુરાવા જતાવે છે કે ૧૦,૦૦૦ વર્ષ પૂર્વે દુનિયાના બધા સમાજો હન્ટર-ગેધરર હતા તે આપણા પૂર્વજો મિનિમમ ૩ વર્ષ તો બાળકોને ધવડાવતા જ હતા. એટલે અભ્યાસમાં બેચાર મહિના ધાવેલા બાળકો અને બેત્રણ વર્ષ ધાવેલા બાળકો વચ્ચેનો તફાવત ધ્યાનમાં લેવો જોઈએ. ૧૯૯૩માં Walter Rogan અને Beth Gladen નામના જીવ વૈજ્ઞાનિકોએ ૬ મહિનાથી માંડી ૫ વર્ષ ઉંમર સુધીના બાળકોનો અભ્યાસ કરેલો. એમનું તારણ એ હતું કે જેમ વધારે મહિના કે વર્ષો બાળક ધાવ્યું હોય તેમ તેમનો માનસિક વિકાસનો સ્કોર વધુ હોય છે. ઘણાબધા અભ્યાસ આ બાબતે થયા છે. મૂળ વાત એ છે કે સ્ત્રીઓ ધવડાવવા અને બાળકો ધાવવા માટે ઓછામાં ઓછું ત્રણ વર્ષ તો ઉત્ક્રાન્તિના ક્રમમાં ઇવોલ્વ થયેલા જ છે, અને વધુમાં વધુ પાંચ વર્ષ. કારણ પાંચ વર્ષ પછી દૂધમાં રહેલું લેક્ટોસ પચાવતું એન્ઝાઈમ બનતું બંધ થઈ જતું હોય છે. એટલે જેટલું વધારે સમય બાળક ધાવ્યું હોય તેમ તેનો માનસિક વિકાસ વધુ નોંધાયો છે. એટલે જે માતાઓએ બાળકને બિલકુલ નાં ધવડાવ્યું હોય તે અને ફક્ત થોડા મહિના બાળકને ધવડાવ્યું હોય તે માતાઓ એક જ નાવમાં સવાર છે, એમના બાળકોનો લાંબાગાળે માનસિક વિકાસ લગભગ સરખો જ હોય છે.”

લાંબું ભાષણ આપી શાંતિભાઈ ઊંડા શ્વાસ લેવા લાગ્યા. તો મંજુબેન એક ચિત્તે બધું સાંભળીને એમના દીકરાની વહુ જે ફક્ત છ મહિનામાં જ ધાવણ છોડાવી દેવાનું વિચારતી હતી એને કઈ રીતે સમજાવવી તે વિચારી રહ્યા હતા. આજકાલની જનરેશનને એમ સીધું કહી દેવાથી માની જાય તેવી હોતી નથી. હું એમની સમસ્યા સમજી ગયો હતો. મેં શાંતિભાઈને કહ્યું આ મંજુબેન હવે અહીં આવીને ઈ-મેલ વગેરે વાપરતા થઈ ગયા છે. નવરાં હોય ત્યારે કોમ્પ્યુટર પર બેસે પણ છે તો એમને તમે કરેલા અભ્યાસની લિંક જે હોય તે ઈ-મેલમાં મોકલી આપો. મંજુબેન તે બધી લિંક એમની વહુને ફૉર્વર્ડ કરી દે. વહુ જાતે જ વાંચી અભ્યાસ કરી નિર્ણય લે તે યોગ્ય છે.

મંજુબેન ખુશ થઈ ગયા, કહે રાઓલભાઈ તમે સરસ ઉપાય બતાવ્યો એમ જ કરવું પડશે. જોઈએ અમારો પ્લાન સફળ થાય છે કે કેમ? હાલ તો આટલું વિચારી અમે છુટા પડ્યા.

ધાવણ અને વાળ (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી)

ઈંડા મૂકતાં સસ્તન
ઈંડા મૂકતાં સસ્તન

૧- ધાવણ અને વાળ (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી) -૧
અમારી રેડબડ સ્ટ્રીટમાં મોટાભાગે ગુજરાતીઓ રહે છે, જે રેડબડ રોડ તરીકે ઓળખાય છે. થોડા શ્વેતાશ્વેત અને થોડા ચાઇનીઝ મૂળના લોકો પણ રહે છે. આખી સ્ટ્રીટ અર્ધગોળાકાર રૂપે ફેલાયેલી છે. સામસામે મકાનો વચમાં રોડ, એક બાજુથી પ્રવેશ મેળવો અર્ધવર્તુળ ફરી બીજી બાજુથી બહાર નીકળી જવાય. એક મોટા એરીયામાં નાનું પાર્ક જેવું છે. એમાં વૉલીબોલ રમવાનું નાનકડું પાકું મેદાન, થોડા નાના બાળકોને રમવાના લપસણી જેવા સાધનો, થોડી લાકડાની પાટલીઓ પણ મૂકેલી છે. અર્ધગોળાકાર ફેલાયેલી મકાનોની સામસામેની લાઈન આગળ ચાલવા માટેના પાકા વૉક વે પણ ખરા. દરેક મકાન આગળ કાર મૂકવાના ડ્રાઈવ વે તો ખરા જ. સાંજ પડે વૉક વે પર સ્ટ્રીટનાં રહીશો ચાલવા નીકળી પડે. થાકે એટલે પાર્કમાં મૂકેલી બેંચ પર બેસી ગામ ગપાટા મારે.

સ્ટ્રીટમાં ચારપાંચ ચક્કર મારી અંબુકાકા થાક્યા એટલે પાર્કમાં મૂકેલી બેંચ પર આવીને બેઠાં, ત્યાં થોડીવારમાં શાંતિભાઈ પણ આવી પહોચ્યા. કમલાબેન અને મંજુલાબેન ચાલી ચાલી થાક્યા તો એ પણ રોજ સાંજે ભરાતી મિટીંગમાં જોઈન થઈ ગયા. ૨૫-૩૦ વર્ષ પહેલા અમેરિકામાં આવીને વસેલી ગુજરાતી મહિલાઓમાં દર બે પાંચ મહિલાએ એકનું નામ મંજુલા નીકળે જ. આ બધાને જોઇને હું પણ ચલાવાનું મુલતવી રાખી આવીને બેસી ગયો. શાંતિભાઈ હાલ તો એક ડે કેઅર સેન્ટરમાં નોકરી કરે છે પણ મૂળ સૌરાષ્ટ્રનાં અને ભારતમાં હતા ત્યારે મનોવિજ્ઞાનનાં શિક્ષક હતા. ધોરણ અગિયાર અને બારમાં મનોવિજ્ઞાન ભણાવતા. એટલે એમની વાતોમાં મનોવિજ્ઞાન આવી જાય. અમારી રેડબડ ગામ ગપાટા મંડળીના બધા સભ્યો કાયમ હાજર હોય નહિ. પણ જે હાજર હોય તેમની વચ્ચે ગપાટા મારવાનું શરુ થઈ જાય.

મંજુલાબેન છએક મહિના પહેલા દાદી બન્યા હતા. એમની પૌત્રીને ધાવતી બંધ કરવાના ઉપાયો ઘરમાં શોચવાનું શરુ થઈ ગયું હતું. મંજુબેનને તે ગળે ઊતરતું નહોતું. કારણ એમના સંતાનો ઓછામાં ઓછું બે વર્ષ તો માતાના ધાવણ પર રહેલા જ હતા. એમનો બળાપો હતો કે “નૉની અમથી સોડી..નઅ. અતારથી દૂધ સોડાઈ દેવાનું? બચારી અજુ પૂરું ખાવાનું ય શીખી નહિ.”

મને કહે અલ્યા રાઓલભઈ તમે બઉ વૉચો સૉ અન શૉન્તીભાઈ તમેય બઉ ઉશીયાર સૉ તો કૉક આ ધાવણ વિષે કૉ ને? અતારથી ધાવણ સોડાઈ દેવાનું હારું કેવાય?

આપણ ને તો ચાન્સ મળવો જોઈએ ડહાપણ ડહોળવાની એક પણ તક જવા દઈએ નહિ. મેં શરુ કર્યું, “સસ્તન પ્રાણીઓમાં બે વસ્તુ મુખ્ય હોય છે, એક તો વાળ હોવા અને બીજું  મૅમલ એટલે સસ્તન પ્રાણીના બચ્ચાનું માતાને ધાવવાનું. આ બે ગુણધર્મ ઉત્ક્રાન્તિના ક્રમમાં બહુ વહેલા મળેલા છે. માતાના ગર્ભમાં બચ્ચું ઊછરવાનું અને પછી જીવિત જન્મ આપવાનું પણ વિકાસના ક્રમમાં પછી મળેલું, તે પહેલા વાળ અને ધાવવાનું વિકસી ચૂક્યું હતું.”

કીડી ખાઉં
કીડી ખાઉં

મંજુબેન બોલ્યા “ઉભા રો ઉભા રો, જરા ધીરે થી હમજાવો. અમુક સજીવો પહેલા ઈંડા મૂકે છે એમાંથી બચ્ચા જન્મે છે. પછી એવા જીવો વિકસ્યા જેમના પેટમાં મતલબ ગર્ભમાં બચ્ચા ઊછરતા અને પુરા મહીને જન્મ લેતા. એના ય પહેલા આ વાળ અને ધાવવાનું વિકસી ચૂક્યું હતું તેવું કહેવા માંગો છો?” મંજુબેન મહેસાણામાં હતા ત્યારે શિક્ષકા હતા એટલે સમજાય નહિ ત્યાં સુધી પીછો છોડે નહિ.

મેં કહ્યું બરોબર હું એજ કહેવા માંગુ છું, “વાળ અને ધાવવાનું પહેલું વિકસેલું ગર્ભમાં બચ્ચાં ઊછરવાનું પછી, વધુમાં ફોસિલ રૂપે મળેલા સીધા પુરાવા જતાવે છે કે મૅમલ ૧૭૦ મિલ્યન વર્ષ પહેલા ચામડી પર ફરકોટ વિકસાવી ચૂક્યાં હતાં. ઇન્ડિરેક્ટ પૂરાવા તો વળી એવું દર્શાવે છે કે મૅમલ ૨૦૦ મિલ્યન વર્ષ કરતાં પણ પહેલાથી વાળ વિકસાવી ચૂક્યા છે. ફોસિલ રિકૉર્ડ પ્રમાણે પ્રથમ મૅમલ ઉદ્ભવ પામ્યા તે પહેલાનાં મૅમલ જેવાં જણાતાં ઍડ્વાન્સ સરિસર્પના લાંબાં સૂંઢ જેવા નાક પર જ્યાંથી વાળ ઊગી શકે તેવા બારીક ખાડા જણાયા છે જ્યાથી મૂછ જેવું ઊગી શકે. ડૉલ્ફિન જેવાં અક્વૅટિક મૅમલ એમના વાળ ગુમાવી ચૂક્યાં છે તે પણ હકીકત છે. માનવ પણ બીજાં મૅમલની જેમ વાળનું તગડુ પડ ધરાવતો નથી.”

“પણ આ ધાવણની વાતોમાં વાળ વચમાં ક્યાંથી આવી ગયા?” અંબુકાકા બોલ્યા. મેં કહ્યું,

“ધાવવાનું તો અપવાદ વગર દરેક મૅમલમાં સામાન્ય હોય છે. પ્લૅટિપસ મૅમલ જે બતક જેવી ચાંચ ધરવતા હોય છે અને ઍન્ટઇટર(કીડી ખાઉ) બંને ઈંડા મૂકતા હોય છે પણ બન્ને વાળ અને આંચળ ધરાવતા હોય છે. ત્યાર પછી વિકસ્યા કાંગારું જેવાં માર્સૂપિઅલ મૅમલ જે અવિકસિત જીવિત બચ્ચાંને જન્મ આપે અને પેટ ઉપર રહેલી કોથળીમાં બચ્ચાને ઉછેરે. વાળની સાથે ચામડી નીચે પરસેવો ઉત્પન્ન કરતી, ગંધ પેદા કરતી અને ઓઇલ પેદા કરતી ગ્રંથિઓ વિકસી. આ તૈલી ગ્રંથિ sebaceous ગ્રંથિમાંથી જ દૂધ ઉત્પન્ન કરતી ગ્રંથિઓ વિકસી છે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. આ દૂધમાં બાળક માટે ફક્ત પોષક તત્વો જ હોતા નથી, એમાં ઍન્ટિબાયૉટિક પણ હોય છે.”
કમળાબેન કહે, “આ મારા દીકરાને તો દૂધ પીવે તરત ઝાડા થઈ જતા હોય છે માટે કદી દૂધ પીતો નથી.”

મેં કહ્યું, “લગભગ પાંચ વર્ષની ઉંમરે બાળક લૅક્ટોસ પચાવે તેવું લૅક્ટેસ નામનું એન્ઝાઇમ પેદા કરવાનું બંધ કરી દેતું હોય છે. એટલે મોટાભાગના પુખ્ત લોકો લૅક્ટોસ પચાવી શકતા નથી. છતાં અમુક સમાજોમાં ડેરી પ્રોડક્ટ લેવાનું સામાન્ય અને નિયમિત હોય છે તે લોકોમાં ગૌણ અનુકૂલન તરીકે લૅક્ટોસ ટૉલરન્સ જિનેટીક સિસ્ટમ વિકસી જતી હોય છે. એશિયન લોકો કરતાં યુરોપિયન લોકોમાં લૅક્ટોસ ઇનટૉલરન્સ રેટ ઓછો જોવા મળે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઉત્તર આફ્રિકા અને સેન્ટ્રલ યુરોપના પશુપાલન કરતા સમાજોમાં આશરે ૭૫૦૦ વર્ષ પહેલાં આવું લૅક્ટોસ પચાવે તેવું જિનેટીક મૉડિફિકેશન થયું હોવું જોઇએ. એટલે બધાને દૂધ પચે નહિ તે હકીકત છે. પહેલા તો એવું કહેવાતું કે કોકેશિયન મૂળના લોકો સિવાય બીજા લોકોને દૂધ પચે જ નહિ.”

કમળાબેન કહે એનો મતલબ બાળક પાંચ વર્ષ સુધી ધાવે તેવી વ્યવસ્થા કુદરતે જ મૂકેલી છે.

મેં કહ્યું સાચી વાત છે. આપણા હન્ટર-ગેધરર પૂર્વજો બાળકોને પાંચ વર્ષ સુધી ધવડાવતા જ હતા. ધાવણ વિષે થોડી મનોવૈજ્ઞાનિક વાતો આ શાંતિભાઈ કરે તો ઓર જાણવા મળે.

શાંતિભાઈ કહે હવે આજે તો હવે મોડું થઈ ગયું છે. જમવાનો સમય પણ થઈ ગયો છે, કાલે મળીશું તો જે જાણું છું તે કહીશ. images-=
આમ અમારી રેડબડ ગામ ગપાટા મંડળી છૂટી પડી..

2013 in review જાનદાર ૨૦૧૩ માંથી શાનદાર ૨૦૧૪માં ધમાકેદાર એન્ટ્રી…

The WordPress.com stats helper monkeys prepared a 2013 annual report for this blog.

Here’s an excerpt:

The Louvre Museum has 8.5 million visitors per year. This blog was viewed about 93,000 times in 2013. If it were an exhibit at the Louvre Museum, it would take about 4 days for that many people to see it.

Click here to see the complete report.

કાયદો પહેલો કે માણસ?

 untitledકાયદો પહેલો કે માણસ?

ભારતમાં પહેલા માણસ જોવાય છે, પછી કાયદો. હું એકવાર વડોદરામાં ન્યાયમંદિર બાજુ ફરતો હતો. પદ્માવતી શોપિંગ સેન્ટર બાજુથી એક કાયનેટીક હોન્ડા જેવા સ્કૂટર માથે ત્રણ છોકરા બેઠેલા ધમધમાટ કરતા લહેરીપુરા ગેટ બાજુથી સાધના ટૉકીઝ બાજુ જતા હતા. હું ત્યાં ફુવારા પાસે ઊભો હતો. ત્રણ સવારી અને તે પણ લાઇસન્સ ના હોઈ શકે તેવડા ત્રણ છોકરા જોઈ ત્યાં ઊભેલા એક સામાન્ય પોલીસવાળાએ પેલાં છોકરાઓને ઉભા રાખી ત્યાંની ભાષા પ્રમાણે મેમો આપી દીધો. થોડી રકઝક ચાલી, છોકરાઓ દાદાગીરી કરવા લાગેલા. પછી મને જાણવા મળ્યું કે સ્થાનિક ધારાસભ્યનો છોકરો સ્કૂટર ચલાવતો હતો અને એના મિત્રો પાછાં બેઠેલા હતા. વાત આગળ વધી ગઈ, બીજે દિવસે જાણવા મળ્યું કે પેલાં પોલીસવાળાને સસ્પેન્ડ કરવા સુધી વાત પહોચી ગયેલી, ધારાસભ્ય સમાધાન કરવા રાજી નહોતા, એક ધારાસભ્યના છોકરાને અટકાવવા બદલ તેને પૂરી સજા કરવાની હતી પણ મોટા સાહેબોએ દરમ્યાનગીરી કરી હોય કે પોલીસવાળો કરગરી પડ્યો હોય તેની ત્યાંથી બદલી કરી નાખવામાં આવેલી. મારા એક રીલેટીવ દાંડિયા બઝાર બાજુ એક પોલીસ ચોકીમાં ફોજદાર હતા તો હું કોઈ વખત ત્યાં બેસવા જતો. તેમણે પણ ઉપરોક્ત બનાવની ચર્ચા કરતા કહ્યું પેલાં પોલીસવાળાએ પ્રેક્ટીકલ બનવું જોઈતું હતું. ધારાસભ્યનાં છોકરા જોડે પંગો નહોતો લેવા જેવો..

આ જે કાયદાપાલનમાં પ્રેક્ટીકલ બનવાની માનસિકતા સમગ્ર ભારતમાં છે તે ઓળખી લેવી જોઈએ. હું પોતે પણ આ સિસ્ટમમાં ૫૦ વર્ષ જીવ્યો જ છું. ભારતમાં માણસ પહેલો જોવાય છે કાયદો પછી જ્યારે અમેરિકામાં કાયદો પહેલા જોવાય છે માણસ પછી, કાયદા આગળ લગભગ માણસ જોવાતો જ નથી કે તે કોણ છે? એટલે આ બે દેશો વચ્ચે કાયદાપાલનની બાબતમાં જે મૂળભૂત ડિફરન્સ છે તે ઓળખી લેવો જોઈએ. એટલે દેવયાની જેવા કહેવાતા મોટા માથાને અમેરિકન સરકાર એક સામાન્ય માનવીની જેમ કાયદાપાલન વિષે ટ્રીટમેન્ટ આપે ત્યારે સમગ્ર ભારતની એવરીજ માનસિકતાને ધક્કો લાગે છે. માનવી સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલો છે અને સમૂહને વ્યવસ્થિત ચલાવવા કાયદા-કાનૂન, નિયમો બનાવવા પડતા હોય છે. એકલદોકલ વ્યક્તિ એના ફાયદા માટે આખા સમાજનો નિયમ તોડે તો સમાજ ખોરવાઈ જવાનો.

કાયદા આગળ સર્વ સમાન તેવું આપણી માનસિકતામાં જલદી ઊતરે જ નહિ માટે નક્કી કોઈ કાવતરું હશે તેવું માનવા મન પ્રેરાય છે. અને કાવતરું જ છે તેવું સાબિત કરવાના પ્રયત્નો પણ ચાલુ થઈ જતા હોય છે. એમાં આખો દેશ તણાઈ જાય કારણ આખા દેશની માનસિકતા સરખી જ રહેવાની. મીડિયા હોય કે સોશિઅલ મીડિયા હોય કે નેતાઓ હોય એવરીજ માનસિકતા તો સરખી જ હોય ને? અરે આવી ભેદભાવભરી સિસ્ટમમાં જેને અન્યાય થયા હોય તેમની માનસિકતા પણ એવી જ હોય છે. બહુ ઓછા લોકો આ દેશમાં એવું માનતા હોય છે કે કાયદો બધા માટે સરખો હોવો જોઈએ. અહીં તો ધર્મે ધર્મે, સંપ્રદાયે સંપ્રદાયે, કોમે કોમે, નાતે-જાતે કાયદા અલગ અલગ હોવા જોઈએ તેવું માનવાવાળો દેશ છે. અને અમીરો માટે તો કાયદાની આમેય ક્યાં જરૂર છે? મુકેશ અંબાણીની એસ્ટોન માર્ટીન ચાર જણને ચગદી નાખશે તો શું થવાનું? જસ્ટ દાખલો આપું છું. મુકેશનો છોકરો દારુ પી ને કાર ચલાવતો હશે તો કોઈ ભાડૂતી ડ્રાઇવર એની જગ્યાએ આવી જશે. આ અમેરિકા થોડું છે કે બુશ પ્રેસિડન્ટ હોય છતાં એની છોકરીને કોર્ટમાં જવું પડે? અને એને કોર્ટમાં લઈ જનારા પોલીસને કોઈ ચિંતા જ ના હોય?

  એટલે ભારતમાં વાહન લઈ જતા હોઈએ અને કોઈ પોલીસ રોકે તો પહેલા તો એના તેવર જુદા હોય. પછી જ્યારે નામ દઈએ, પિતાશ્રીનું નામ દઈએ, કઈ કોમ કે નાત ધરાવીએ છીએ તે કહીએ એટલે તેના તેવર બદલાઈ જાય. હું તો રાઓલ અટક અને ગામ માણસા કહું એનામાં તરત નમ્રતા આવી જાય. આપણે પણ ફુલાઈને ચાલતી પકડીએ. એટલે પહેલીવાર અમેરિકામાં આઠ વર્ષે પોલીસવાળાએ રોકી મને કહ્યું “ સર ! તમારે કારમાંથી ઊતરવાની જરૂર નથી, હું ફલાણો પોલીસ ઓફિસર છું અને તમે આ જગ્યાની બાંધેલી સ્પીડ કરતા વધુ સ્પીડે કાર ચલાવી છે માટે તમારું લાઇસન્સ અને કારનું રજિસ્ટ્રેશન વગેરે આપો.” મને તો એણે ‘સર’ કહ્યુંને મજા પડી ગઈ. છતાં મને ખબર હતી કે ગુનાની ગંભીરતા કે પરિસ્થિતિ જોઈ આ જ પોલીસવાળો મને રોડ પર ઊંધા પાડી એના સ્વખર્ચે વસાવેલી હાથકડી પહેરાવતા જરાય વાર નહિ કરે.

આપણે ત્યાં લાલુઓ, દત્તો, સલમાનો માટે કાયદાપાલન બાબતે જુદા કાટલાં છે અને બબલો, છગનીયો, ભીખલો કે મગનીયા માટે કાટલાં જુદા છે. એટલે બધા માટે કાટલાં સરખાં હોય તેવું આપણી માનસિકતામાં અચેતનરૂપે ઊતરે જ નહિ. એટલે પછી લાલુઓ, દત્તો, સલમાનો માટે બબલો, છગનીયો, ભીખલો અને મગનીયો કાવતરા કરી રહ્યા હોય તેવું લાગતું હોય છે. એટલે અમેરિકાની કાયદાપાલન સિસ્ટિમ આપણા દિમાગમાં ઊતરતી નથી અને અમેરિકા ભારતને નીચું પાડવા કાવતરા કરી રહ્યું હોય તેમ સામાન્ય પ્રજાજનોને પણ લાગતું હોય છે.

આ પ્રીત ભરારા ઇન્ફન્ટ એટલે તાજું જન્મેલું બચ્ચું હતા અને અમેરિકા આવી ગયેલા. એમની સમજમાં કે બ્રેનમાં હોય જ નહિ કે દેવયાની જેવા મોટા ઓફિસર અને મોટા માથા પર કાયદાકીય પગલા લેવા પાપ કહેવાય. દેવયાની અને એની નોકરાણી સંગીતા રીચાર્ડનાં કેસ વિષે આપણે ન્યાય તોલવા બેસવાની જરૂર નથી. તે બધું જે તે સત્તાવાળા અને જે તે ન્યાયાધીશો કરશે. મારે તો જસ્ટ માનસિકતાની વાત કરવી છે. દેવયાની અને સંગીતા બંને વધતાઓછા દોષી હશે જ. પણ અમેરિકામાં સંગીતા એક નોકરાણી છે ગરીબ છે અને દેવયાની એક કૉન્સ્યુલેટ છે, ડિપ્લોમેટ છે અમીર છે તેવા ધારાધોરણ ધ્યાનમાં લેવામાં આવશે નહિ અને ભારતમાં આ બધું ધ્યાનમાં લેવામાં આવશે. ભલે અમેરિકાએ સદીઓ સુધી ગુલામો રાખ્યા હશે પણ આજે અમેરિકા સ્લેવરિ બાબતે ખૂબ સેન્સીટીવ છે. ફેડરલ ગવર્નમેન્ટ નક્કી કરે તેના કરતા ઓછા પગાર આપવો સ્લેવરિ જેવું ગણાય.

તમે મોદી સરકારના એક સામાન્ય પોલીસવાળા હોવ અને ખુદ મોદી કારમાં સીટ બેલ્ટ બાંધ્યા વગર જતા હોય તો મેમો આપી શકો ખરા? સપનામાં પણ એવો વિચાર આવે નહિ. અમેરિકામાં ડ્રાઈવરે અને કારમાં આગળ બેઠેલાએ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત છે. અહીં પ્રમુખ પદ્ધતિ છે માટે રાજ્યના ગવર્નર સીધા પ્રજા દ્વારા ચૂંટાયેલા અને ભારતના કોઈ મુખ્યમંત્રી જેવા સર્વેસર્વા જ સમજી લો. ન્યુ જર્સીના ગવર્નર કોરઝાઈનને એના જ પોલીસવાળાએ બેલ્ટ ના બાંધવા બદલ ટીકીટ(મેમો) આપી દીધેલો.

અહીં અમેરિકામાં ભારતીયોનું શોષણ બીજા ભારતીયો દ્વારા જ થતું હોય છે. મોટેલોમાં અને સ્ટોરોમાં એના ભારતીય માલિકો દ્વારા એમના ભારતીય નોકરોનું બેફામ અને માનવતા નેવે મૂકીને શોષણ કરાતું  હોય છે. પણ એમાં તેરી બી ચુપ મેરી બી ચુપ જેવો ઘાટ હોય છે. ફેમિલીફાઈલો ઉપર અમેરિકા આવી ગયેલા નિરક્ષર ભારતીયો જે મળે તે અને જ્યાં મળે ત્યાં કામ કરવા રાજી હોય છે. અહીં કોઈ કામ નાનું કે મોટું ગણાતું નથી માટે કરવામાં તો શું શરમ રાખવાની? પણ જે મળે તે કામ કરી લેવાની મજબૂરીનો જબરદસ્ત લાભ ભારતીયો જ લેતા હોય છે. કોઈ શ્વેત-અશ્વેતનું શોષણ તમે કરી શકો નહિ. કોર્ટના ધક્કા ખાતા કરી મૂકે. એટલે અભણ, વૃદ્ધ અને અશક્ત ભારતીયોનું શોષણ આપણા ભારતીયો જ કરતા હોય છે. ડીસ્ક્રીમીનેશન અહીં મોટો ગુનો છે. સ્ત્રીઓના મોઢા ના જોવાય પણ પુરુષનું નિતંબશોષણ કરવામાં જરાય વાંધો નહિ તેવી પવિત્ર માનસિકતા ધરાવતા સંપ્રદાયનાં સંતો એક ભારતીયની મોટેલમાં એમના પવિત્ર વાઈબ્રેશન ફેલાવી તેને કૃતાર્થ કરવા પધાર્યા ત્યારે પેલાં ભારતીય મોટેલ માલિકે એમની અશ્વેત કર્મચારી એવી મહિલાને સ્થળ છોડી જવા ફરમાન કરેલું. પેલી મોટેલસ્થળ છોડી કોર્ટસ્થળે પહોચી ગયેલી એમાં પેલાં ભારતીય મોટેલ માલિકને બહુ મોટો દંડ untitled-=-ભોગવવો પડેલો.

શોષણ થવા દેવા માટેની તમારી મજબૂરીઓને લીધે તમે કેસ કરો નહિ તો સરકારને ક્યાંથી ખબર પડવાની હતી? જો તમને જ તમારું શોષણ મંજૂર હોય તો સરકાર શું કરવાની હતી? ભારતમાં આપણને કોઈ બેપાંચ હજાર પગારમાં રાખવા તૈયાર ના હોય અને અહીં અમેરિકા ૨૫-૩૦ હજાર રૂપિયા આપી લાવવા તૈયાર થઈ જાય તો એકંદરે લાભ બંનેને છે. પણ આ ૨૫-૩૦ હજાર એટલે આશરે ૫૦૦ ડોલર તે પણ મહીને અહીંના ધારાધોરણ મુજબના કહેવાય નહિ. આટલાં તો અઠવાડિયે મળવા જોઈએ.

વધુ પડતા આત્મવિશ્વાસમાં એકવાર ૯/૧૧ ઘટના બની ગયા પછી અમેરિકા વધુ પડતું સાવચેત થઈ ગયેલું છે. અને તે જરૂરી છે. આપણા ફિલ્મી ટાયડા કે લઘરવઘર ફરતા નેતાઓના માન સાચવવાની લ્હાયમાં અમેરિકન પ્રજાની સુરક્ષા હોડમાં મૂકે તેવું અમેરિકા નથી. આ લેડી ગાગા મુંબઈથી અમદાવાદ રોડરસ્તે એના કાફલા સાથે આવતી હોય તો મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પર એની કોઈ ચકાસણી થાય ખરી? ચાલો એના બદલે સુનિધિ ચૌહાણ કે શ્રેયા ઘોષાલ હોય તો પણ કોઈ તપાસે નહિ. પણ અહીં લેડી ગાગા એક સ્ટેટ બદલી બીજા સ્ટેટમાં જતી હોય તો કુતરાઓની આખી ફોજ સાથે પોલીસ એના કાફલાની પૂરી ચકાસણી કરી લે, એમાં લેડી ગાગા પણ હસતી હસતી સહકાર આપે. ઘણીવાર જરૂરિયાત નિયમો બનાવી લેવા પ્રેરતી હોય છે. આંતરવસ્ત્રો તપાસવાના પહેલા કોઈ નિયમો હતા નહિ. પણ કોઈએ આંતરવસ્ત્રો અને ગુપ્તાંગોનાં ખાડાખૈયામાં કશું છુપાવ્યું હશે જે મળ્યું હશે માટે બધું તપાસવાના નિયમો બની ગયા હશે. સમાજની સુરક્ષા માટે બનાવેલા નિયમોનું આકરું પાલન આપણી સમજમાં જલદી ઊતરતું નથી કારણ આપણે ત્યાં માણસ એનું સ્ટેટ્સ એના પૈસા બધું પહેલા ગણતરીમાં લેવાય છે કાનૂન પછી.

હું એવું નથી કહેતો કે અમેરિકા ભૂલો નથી કરતું કે બહુ મહાન છે પણ આપણે ત્યાં માણસ પહેલા જોવાય છે પછી કાયદો જ્યારે અહીં કાયદો પહેલા ગણતરીમાં લેવાય છે માણસ પછી માટે આ બેસિક તફાવત ધ્યાનમાં રાખવો જોઈએ.. જો કે માણસ જાતના ઇતિહાસમાં ડીસ્ક્રીમીનેશન કરવામાં સદીઓથી અવ્વલ નંબરે રહેલી પ્રજાના મનમાં આ વાત જલદી નહિ ઊતરે તે પણ હકીકત છે.

નોંધ: મિત્રો જમણા હાથે કોણીમાં ફ્રેકચર છે નિયમિત લખવું મુશ્કેલ છે, એક હાથે તે પણ ડાબા હાથે લખવું અઘરું છે છતાં ટ્રાય કર્યો છે.

સંસ્મરણોની દાબડીમાંથી……ક્રિકેટ

untitled-=-સંસ્મરણોની દાબડીમાંથી……ક્રિકેટ

રમવાની શરૂઆત ઘર ઘરથી થઈ હતી. ઘરના ચોકમાં એક ખુણામાં જૂની ચાદરો, ટોવેલ અને જૂની સાડીઓ બાંધી ઘર બનાવતા અને અડોશપડોશનાં છોકરાં ભેગાં થઈને બહુ પ્રાચીન એવી ઘર ઘર રમત રમતા. થોડા મોટા થયા પછી ફળીયામાં જરા ખુલ્લી જગ્યા હોય ત્યાં ગીલ્લી ડંડા, સતોડીયું, ભમરડા ફેરવવાના જેવી રમતો શરુ થઈ. લંગડી અને થપ્પો જેવી રમતો પણ રમાતી. પણ હજુ થોડા મોટા થયા પછી ખરેખર રસ પડ્યો હોય તો તે ક્રિકેટની રમત હતી. કોઈ દીવાલ પર કાળા કોલસા વડે ત્રણ લીટા સ્ટમ્પ સ્વરૂપે દોરી ટેનીસ બોલ વડે ક્રિકેટ રમતા. ટીવી તો તે સમયે હતા નહિ કે ક્રિકેટ પડદા પર જોવા મળે. પણ વાલ્વ ધરાવતા મોટા રેડીયાને સ્થાને ઉત્ક્રાંતિ પામી નાના ટ્રાન્ઝીસ્ટર આવવાની શરૂઆત થઈ ચુકી હતી. રેડીઓ પર ક્રિકેટ સાંભળવાનો રસ લગાડનાર હતા મારા મોટાભાઈશ્રી હરિશ્ચંદ્રસિંહ. તેઓ ક્રિકેટની મેચ ચાલતી હોય અને તેની કોમેન્ટ્રી રેડીઓમાં આવતી હોય ત્યારે લગભગ રેડીયામાં ઘુસી જતા. કોઈ કામ હોય અને કશું કહીએ તો સાંભળે પણ નહિ. મધર એમની તળપદી ભાષામાં કહેતા કે ‘રેડીયામાં કૉન ઘાલી ન બેઠો સઅઅઅ..નઈ હોભળ…ઘણીવાર એનાથી ઉલટું પણ બોલતા કે કૉનમાં રેડીઓ ઘાલી ન બેઠો સઅઅ.. હહાહાહાહા…  તેઓ કદી ક્રિકેટ રમ્યા હોય તેવું મને યાદ નથી પણ ક્રિકેટના ભારે રસિયા. ક્રિકેટનો રસ ધરાવવા માટે ક્રિકેટ રમવું જરૂરી તો નથી..imagesTG3XHAZ0

ફીલીપ્સ અને મરફીના નાના ટ્રાન્ઝીસ્ટર હોય ઉપર લેધરનું કવર હોય પટ્ટાવાળું, ટ્રાન્ઝીસ્ટર ખભે લટકાવેલો હોય, સફેદ ખમીસ અને સફેદ ધોતિયું પહેરેલું હોય, કાળા બુટ અંદર લાલ મોજા પહેરેલા હોય, ગાળામાં લાલ રૂમાલ ભરાવેલો હોય, ભરપુર તેલ નાખી વાળ ઓળવેલા હોય, કાનમાં અત્તરના પૂમડા ભરાવેલા હોય એવા રંગીલા રસીલા માનવીઓ જોવા મળે તે હવે ભૂતકાળ બની ચૂક્યું છે. મને આવું જોઈએ તે સમયે પણ ખૂબ હસવું આવતું. જો કે આવું પહેરેલા રેડીઓ સિલોન કે બિનાકા ગીતમાલા વધુ સાંભળતા. વિવિધભારતી પણ બહુ પાછળથી આવ્યું. ક્રિકેટ ગમે ત્યાં રમાતી હોય એની મજા માણવાનું એકમાત્ર સાધન ફક્ત રેડીઓ હતું.

અત્યારે કોમેન્ટેટરને ખબર હોય છે કે તમે ક્રિકેટ ટીવી પર જોઈ રહ્યા છો માટે એમના વર્ણનમાં તેની અસર પડતી મને લાગી છે. પણ ટીવી નહોતા ત્યારના કોમેન્ટેટરને ખબર હોય કે એમની કોમેન્ટ્રી રેડિયા પર પ્રસારિત થાય છે, મેદાનમાં હાજર સિવાય લાખો લોકો તેને સાંભળીને મજા લઇ રહ્યા છે તેની અસર પણ એમના વર્ણન પર પડતી. તે સમયના કોમેન્ટેટર્સ બોલ ટુ બોલ જે વર્ણન કરતા તે સાંભળી તમે ક્રિકેટ જોઈ રહ્યા છો તેવું લાગે.

સ્કૂલમાં બીજા મિત્રો ક્રિકેટની દંતકથાઓ માંડીને કહેતા ત્યારે સાંભળવાની અને અહોભાવમાં તણાઈ જવાની મજા પડતી. જામ રણજીતસિંહ આઠ આઠ સ્ટમ્પ લગાવીને રમતા પણ આઉટ થતા નહિ તેવું સાંભળી ગર્વ અનુભવતા. આવી બધી કથાઓમાં કેટલુક સાચું પણ હોય અને કેટલુક ખોટું પણ હોય. ક્રિકેટ સમજતો થયો ત્યારે નવાબ ઓફ પટૌડી કેપ્ટન તરીકે ધાક જમાવતા હતા. વેસ્ટ ઇન્ડીઝનાં ૯૦ માઈલની ઝડપે બોલ નાખતા વેસ્લી હોલની કથાઓ પ્રચલિત હતી તો ગ્રીફીથ ૮૬ માઈલની ઝડપે બોલ નાખી ભારતનાં કેપ્ટન નરીમાન કોન્ટ્રાક્ટરની ખોપડી તોડી ચુક્યો હતો. તે સમયના બેટ્સમેનનાં મનમાં ફાસ્ટ બોલર ખાસ તો વેસ્ટઇન્ડીઝના બોલરો સામે રમવાનો જબરદસ્ત સ્ટ્રેસ રહેતો કે નરીમાન કોન્ટ્રાક્ટર જેવું થઈ જાય તો પતી ગયું. તે સમયે હેલ્મેટ પહેરવાનો કોઈ નિયમ હતો નહિ. હેલ્મેટ પહેર્યા વગર ખોપરી ફાડી નાખે તેવા ઝડપી બોલ સામે રમવું બેટ્સમેનની કાબેલિયત દર્શાવી દેતું. હેલ્મેટ પહેર્યા વગરની ખોપરીમાં ૮૬ માઈલની ઝડપે બોલ ઝીંકાય તો શું થાય? નરીમાન વાવાઝોડામાં ઝાડ ફસડાઈ પડે તેમ મેદાન પર ઢગલો થઈ ગયેલા, એમના નાક, કાન, મોઢા અને આંખોમાંથી લોહીની ધારાઓ વહેતી હતી એવું સાંભળ્યું હતું. સમયસરની સારવારે untitled0-1બચી તો ગયા પણ કારકિર્દી ખતમ.

બેસ્ટમેનને ડરાવવા બોલર બાઉન્સર નાખતા, પણ ગેરી સોબર્સ જેવા મહાન ખેલાડી સામે એનો અંજામ બહુ બુરો આવતો. એક એક બાઉન્સર હુક શોટ દ્વારા ચોક્કા અને છક્કામાં પલટાઈ જતો ત્યારે એમની સામે પછી બોલર બાઉન્સર નાખવાની હિંમત કરતો નહિ. એવામાં સુનીલ ગાવસ્કર મક્કમ પગલે એક પછી કે વિક્રમો તોડવા આવી ચૂક્યા હતા. વેસ્ટ ઇન્ડીઝમાં એમના ઘરમાં ક્રિકેટના એ સિંહો સામે બાથ ભીડવી કોઈ નાનુસુનું કામ નહોતું. પાંચ ટેસ્ટની એ સીરીઝમાં ગાવસ્કરે  દુનિયાના શ્રેષ્ઠતમ ફાસ્ટ બોલરો સામે ૭૭૪ રન ઠોકેલા તે મને હજુ યાદ છે. વેસ્ટ ઈન્ડિયનો હજુ પણ તે ભૂલ્યા નથી અને ગાવસ્કરને લીટલ માસ્ટર તરીકે હજુ પણ માન આપે છે. ૧૯૭૦ સુધી હેલ્મેટ પહેરવાનો ખાસ રિવાજ નહોતો. ઈંગ્લેન્ડના ડેનીસ એમીસે પહેલીવાર સતત હેલ્મેટ પહેરીને આ રિવાજ પ્રચલિત કરવામાં સારો એવો ભાગ ભજવ્યો. હેલ્મેટ પહેરીને રમતા આજના ખેલાડીઓ આજે જે રનના ખડકલા સર્જે છે તે હેલ્મેટ વગર સર્જી શક્યા હોત ખરા?

હું વ્યવસ્થિત સાંભળતો અને સમજતો થયો ત્યારે ફારુખ એન્જીનીયર અને સુનીલ ગાવસ્કર પારી શરૂ કરતા. ફારુખ ફિલ્મી હીરો જેવા લાગતા, બિલ્ક્રીમ હેરક્રીમની એડમાં આવતા. ગાવસ્કર કરતા વધુ ઝડપી ફટકા મારી આઉટ પણ જલ્દી થઈ જતા. આબિદઅલી અને એકનાથ સોલકર જેવા બોલિંગની પારી શરુ કરતા. સોલકર તે સમયના શ્રેષ્ઠતમ ફિલ્ડર ગણાતા. બેટ્સમેનની બાજુમાં ત્રણેક ફૂટ જ દુર ઉભા રહીને સોલકર ફિલ્ડીંગ કરતા. સ્પિનરની બોલીંગમાં જરા જેટલી ચૂક અને સોલકર ચિત્તાની જેમ કેચ ઝડપી એને ઘરભેગો કરી દેતા. લગભગ એક ટેસ્ટમાં સૌથી વધુ કેચ કરવાનો વિક્રમ એક સમયે એમના નામે પણ બોલતો હતો. ફાસ્ટ કે મીડીયમ ફાસ્ટ બોલરોનું ભારતીય ટીમમાં બહુ પ્રભુત્વ નહોતું. બેપાંચ ઓવર બોલ થોડો ઢીલો કરવા નખાતી પછી સ્પિનરો એનો હવાલો લઇ લેતા. બેદી, પ્રસન્ના, ચંદ્રશેખર અને વેંકટ રાઘવન જેવા સ્પિનરો આખો દિવસ બોલિંગ કર્યા કરતા. બેટિંગમાં તો સાત વિકેટો પડી જાય પછી આ સ્પિનરો બેટિંગ કરવા આવવાના હોય એટલે ધબાય નમઃ જ સમજી લેવાતું. જેટલો સમય આ લોકો પેડ બાંધવામાં લગાડતા એના કરતા ઓછા સમયમાં આઉટ થઈ પાછા આવી જતા.untitled

પાંચ દિવસની મેચ સાથે ૫૦-૫૦ ઓવરની વનડે શરુ થઈ અને ભારતમાં કપિલદેવ આણમંડળી આવીને સ્પિનરોનું પ્રભુત્વ સાથે ફાસ્ટ બોલરોનું પ્રભુત્વ પણ વધ્યું. ૧૯૮૩નો વર્લ્ડકપ જીત્યા તે મેચ બોલ ટુ બોલ રેડીઓમાં સાંભળેલી. મારા પ્રિય કેપ્ટનમાં ક્લાઈવ લોઈડ પ્રથમ આવે. એમના ઇલેક્ટ્રિક ગ્રાઉન્ડ શોટ રોકવા જાઓ તો આંગળી ઉતરી જાય તો નવાઈ નહિ. ઇમરાનખાન અને કપિલદેવ પણ મારા પસંદીદા કેપ્ટન. કપિલદેવે વર્લ્ડકપ જીતી ભારતીય ક્રિકેટની સિકલ જ બદલી નાખી હતી. કપિલદેવ અને ઇમરાનખાને બાકીના દેશોને બતાવી દીધું કે અમને જરાય કમજોર સમજતા નહિ. બેટ્સમેન તરીકે વિવિયન રિચર્ડ્સ, ગાવસ્કર, સચિન મને હંમેશા બેસ્ટ લાગ્યા છે. સૌથી વધુ ૩૦૯ વિકેટ લેનારા પહેલા સ્પીન બોલર લાંસ ગીબ્સ હતા પણ પછી સૌથી વધુ વિકેટો લેવાના વિક્રમ ફાસ્ટ બોલરો બનાવવા લાગ્યા. પાંચ દિવસની ટાઈમપાસ શ્રીમંત અંગ્રેજોની રમત ધીમે ધીમે ઉત્ક્રાંતિ પામી ઝડપી અને સર્વસામાન્ય બનવા લાગી.

ટીવી નો જમાનો આવ્યો અને ખેલાડીઓ જાહેરાતોમાં આવી કમાતા થયા. તે પહેલા સિનેમાનો શો શરૂ થાય તે પહેલા બતાવાતી જાહેરાતોમાં ખેલાડીઓનો સમાવેશ ભાગ્યેજ થતો. ફારુખ એન્જીનીયર બિલ્ક્રીમની એડમાં આવતા તો પટૌડી ગ્વાલિયર શુટિંગની એડમાં આવતા અને ગવાસ્કર દિનેશમિલની એડમાં આવતા. બાકી ક્રિકેટના ખેલાડીઓ પણ રમીને બહુ કાઈ કમાઈ લેતા નહિ. ચંદ્રશેખર જેવા શ્રેષ્ઠ ગુગલી બોલર પાસે તો સારવારના પૈસા પણ નહોતા. ખેલાડીઓ રમીને કમાય તેમાં ખોટું શું છે? પણ જે રમતપ્રેમી પ્રેક્ષકોને લીધે નામ-દામ મળતા હોય તેમની ભાવનાઓ સાથે ચીટીંગ કરી મેચ ફિક્સ કરી કમાઈ લેવું સરાસર ગલત છે.

વનડે ક્રિકેટ એ ક્રિકેટ જગતમાં જબરદસ્ત ઉત્ક્રાંતિ હતી. વનડે ક્રિકેટ આવ્યું અને ક્રિકેટમાં ઉત્તેજના વધી. રમવાનું વધ્યું તો જાતજાતના કપ રમાવા લાગ્યા. બેન્સનહેઝીસ કપમાં ભારતે ડંકો વગાડ્યો તો રવિ શાસ્ત્રી મેન ઓફ સીરીઝ બની ઓડી નામની વિખ્યાત કાર જીત્યા. તે સમયે ઓડી કેવી હશે તેની ફક્ત કલ્પનાઓ જ કરતા. એની પર બેસી બધા ખેલાડીઓ ચડી બેસેલા. આજે અહી સેકડો ઓડી કાર ફરતી જોઈ કોઈ ઉત્તેજના થતી નથી. વનડેની ઉત્ક્રાંતિ સાથે શ્રીલંકા જેવા અનેક દેશો એ શ્રીગણેશ કર્યા. રંગભેદની નીતિને લીધે સાઉથ આફ્રિકા સાથે કોઈ ક્રિકેટ રમતું નહોતું. આપણે જેમ હોકીમાં આઠ આઠ ઓલોમ્પિક ગોલ્ડ મેળવી ૩૨ વર્ષ ધાક જમાવી રાખેલી તેમ ઓસ્ટ્રેલીયાએ લાંબો સમય ક્રિકેટમાં ધાક જમાવી રાખી હતી.

આખરે કહેવાતા ધાર્મિક પણ નૈતિકતાની બાબતમાં નીચલું સ્તર ધરાવતી માનસિકતામાં જે થવાનું હતું તે થયું. ખેલાડીઓ બુટલેગરોના હાથમાં રમવા લાગ્યા અને વેચાઈ જવા લાગ્યા. આપણે એક એક બોલ ઉપર આપણું બ્લડ પ્રેશર વધારતા ઘટાડતા હોઈએ અને આ તો વેચાઈ ગયેલા હોય. આપણા મનમાં હોય કે હવે થોડીવારમાં તો ભારત જીતી જશે અને અચાનક ટપોટપ વિનાકારણે વિકેટો પડી જાય અને જીતની બાજી હારમાં પલટાઈ જાય. શરૂમાં લાગતું કે ભાઈ રમત છે પણ અઝહરુદ્દીન સમયે મેચ ફિક્સિંગ પકડાયું ને ખબર પડી કે કેમ જીતની બાજી અચાનક હારમાં પલટાઈ જાય છે? ક્રિકેટ પ્રેમીઓ માટે આ બહુ મોટો આઘાત હતો.

ગાવાસ્કરની વિદાયની ઘડીઓ ગણાઈ રહી હતી પણ આપણને એના જેવો બીજો મહાન ખેલાડી મળવાની તૈયારીઓ થઈ રહી હતી. ગાવસ્કરે ૧૯૮૭મા વિદાય લીધી અને બરાબર બે વર્ષ પછી ૧૮૮૯માં આપણને સચિન મળ્યો. સચિન મહાન ક્લાસિક બેટ્સમેન, સરસ બોલર, ઉત્તમ ફિલ્ડર સાથે ઉમદા હ્યુમન બીઈંગ. ભ્રષ્ટાચારી અધિકારીઓના ઝુંડ વચ્ચે એક પ્રમાણિક અફસર એનું કામ ચુપચાપ કરે જાય ત્યારે એની પ્રમાણિકતા ઉપર પણ શંકા જાય તે સ્વાભાવિક છે, પણ એવો અફસર ચુપ રહેવા સિવાય બીજું કરી પણ શું શકે? કદાચ બોલે તો એની કારકિર્દી ખતમ જઈ જાય. સચિન ના ભૂતો ના ભવિષ્યતિ..untitled=-==

બીજી રમતોની જેમ ક્રિકેટ બહુ સારી રમત છે પણ ઘેલાપણું કદી સારું નાં હોય. ફક્ત એક જ રમત પ્રત્યેનો અંધપ્રેમ એની પાછળનું ગાંડપણ બીજી રમતોનું સત્યાનાશ વાળી નાખે છે તેનું ભારત ઉત્તમ ઉદાહરણ છે. કારણ આસપાસનો માહોલ જ એવો હોય કે બાળકોને બીજી રમત પ્રત્યે પ્રેમભાવ જાગે જ નહિ. એટલે લાંબે ગાળે બીજી રમતોને નુકશાન થવાનું જ. ઘરમાં મ્યુઝીકનું મહત્વ વધારે હોય માબાપ સંગીતકાર હોય તો બાળકો સ્વાભાવિક સંગીત તરફ ઝોક વધુ રાખવાના. એમ મને ક્રિકેટ સિવાય બીજી રમતોમાં રસ ના હોય, આસપાસ પણ ક્રિકેટ સિવાય બીજા કશાનું પાગલપન દેખાતું જ ના હોય તો બાળકો પણ એમાજ સામેલ થવાના. લાંબા ગાળે બીજી રમતો પ્રત્યે પ્રેમ ઓછો થવાનો. આ તો નેચરલ છે.

ખેલાડીઓને ભારતરત્ન અપાતો જ નહોતો. એની યાદીમાં ખેલાડીઓ સામેલ નહોતા. કેમ? ખરા ભારતરત્ન તો ખેલાડીઓ અને કલાકારો હોય છે. ભારતરત્ન પર નેતાઓ કબજો જમાવીને બેઠેલા હતા. સચિનને લીધે પહેલીવાર ખેલાડીઓને ભારતરત્ન માટે હકદાર માનવામાં આવ્યા તે બહુ ઉત્તમ કામ થયું છે. સચિન સાથે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદને પણ ભારતરત્ન અપાયો હોત તો બહુ સારી વાત હતી. ઈન્દિરાજી ભારતરત્ન માટે હકદાર અવશ્ય હતા પણ તેમને ભારતરત્ન અપાય તે સમયે સરદાર વલ્લભભાઈને ભારતરત્ન અપાયો ના હોય તે અજુગતું અને અન્યાયપૂર્ણ લાગે. જો કે ભારતમાં આવા અન્યાય થવા હવે સામાન્ય થઈ ગયું છે.

ધાવણ અને ધાવમાતા

untitled-0-=

 બાળઉછેરની ચર્ચાઓ સ્ત્રીઓમાં ચાલતી હોય ત્યારે Breast vs Bottle વિષય મહત્વનો બની જતો હશે. બ્રિટીશ સરકારે બ્રેસ્ટ ફીડીંગને ઉત્તેજન આપવા એક પાઇલટ સ્કીમ શરુ કરી છે એના અંતર્ગત જે સ્ત્રીઓ એમના બાળકોને બ્રેસ્ટફીડીંગ કરતી હોય તેને છ અઠવાડિયા સુધી ૧૨૦ પાઉન્ડ શોપિંગ વાઉચર તરીકે આપવા અને છ મહિના સુધી બ્રેસ્ટફીડીંગ કરે તો આ રકમ ૨૦૦ પાઉન્ડ સુધી વધી શકે. ઘણી સ્ત્રીઓ પૌષ્ટિક ખોરાકના અભાવે પોતાનું દૂધ ઉત્પાદન જોઈએ તેવું કરી શકતી નહિ હોય તેવું ધારી કદાચ આવો નિર્ણય લેવાયો હોય તેવું બની શકે. ઘણી સ્ત્રીઓ પૂરતું દૂધ ઉત્પાદન કરી શકતી ના હોય તે નવું નથી.

તાજાં જન્મેલા બાળકોને પહેલાં કોઈ બીજા પ્રાણીનું દૂધ આપતું નહિ. ૧૯મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ યુરોપમાં શરૂ થઈ સ્ત્રીઓ કારખાનામાં કામ કરતી થઈ અને બાળકોને સર્વપ્રથમ ગાયનું દૂધ આપવાનું શરુ થયું. બ્રેસ્ટફીડીંગ કરતાં બોટલથી દૂધ આપવું ઝડપી અને સ્ત્રીઓ કામના કલાકો વધુ ખેંચી પણ શકે. વધુને વધુ સ્ત્રીઓ કામ કરતી થઈ તેમ કામ કરતી નવી બનેલી માતાઓને તો બ્રેસ્ટફીડીંગ અઘરું લાગવા માંડતા બોટલ ફીડીંગ ઝડપથી ફેલાવા લાગ્યું. પરિણામ એ આવ્યું કે ત્રીજા ભાગના બાળકો એમનો પહેલો જન્મદિવસ જુએ અને ઊજવાય તે પહેલા પૃથ્વી પરથી કાયમી વિદાય લેવા લાગ્યા. ૨૦મી સદીમાં એમાં થોડો સુધારો આવ્યો કે દૂધ આપવાની બોટલ હાઇજીનનું ધ્યાન રાખીને બનાવવાનું અને વાપરવાનું શરૂ થયું, સાથે સાથે દુધને બદલે તૈયાર ફૉર્મ્યૂલા-ફીડ પણ વપરાવા લાગ્યા. ભારતમાં તો બોટલ વડે દૂધ આપવાનું બહુ પાછળથી શરૂ થયેલું. અમારી પેઢી સુધી તો હતું જ નહિ.

હવે આપણે શીખ્યા કે formula-feeding ભવિષ્યમાં બાળકની તંદુરસ્તી માટે ખૂબ હાનિકારક છે જેવું કે ભવિષ્યમાં ડાયબીટિઝ અને ઓબેસિટી વડે પીડાવાનું જોખમ વધી શકે છે. પણ હવે જાદુઈ ચિરાગમાંથી બહાર છટકી ગયેલો જિન પાછો પૂરવો મુશ્કેલ છે. જો કે ૧૯૦૦માં પોતાના બ્રેસ્ટફીડીંગ તરફથી નવા વિકલ્પ પ્રત્યે સ્ત્રીઓ અચાનક ધ્યાન આપતી નહોતી શરુ થઈ ગયેલી. એની શરૂઆત બહુ જૂની છે. ૧૯મી સદીમાં શરૂ થયેલા બોટલ-ફીડીંગ ને લીધે એક સદીઓ જુનો વ્યવસાય wet nursing નદારદ થઈ ગયો. ભારતમાં એને ધાવમાતા કહેતા(breastfeeding another woman’s baby). ભારતમાં રાજઘરાનાના લોકો આવી ધાવમાતાઓ રાખતા. wet nursing(ધાત્રીકર્મ) વિશેના સૌથી જુના લગભગ હજાર વર્ષ જુના ઉલ્લેખ ઇઝરાયલ, ઈજીપ્ત અને ગ્રીસમાં મળે છે. કોઈ શારીરિક ખામીને લીધે કોઈ સ્ત્રી એના બાળકને દૂધ આપી શકતી ના હોય ત્યારે આવી ધાવમાતા તરીકે સ્ત્રીઓ પગાર આપી રાખવામાં આવતી જે પેલી સ્ત્રીના બાળકને ધવડાવવાનું કામ કરતી.

ભારતમાં તો આવી માતાઓ બાળકની તમામ સારસંભાળ રાખતી. જરૂર પડે જે તે બાળક માટે બલિદાન આપી દેતી. મુઘલ બાદશાહ અકબરને ના નમનાર એકમાત્ર મહારાણા પ્રતાપ ઉપર આજે આપણે બહુ ગર્વ કરીએ છીએ એના મૂળમાં પન્ના નામની ધાવમાતાનું બલિદાન બોલે છે. પન્ના મહારાણા પ્રતાપના પિતાશ્રી મહારાણા ઉદયસિંહનાં ધાવમાતા હતા. બાળ ઉદયસિંહને મારી નાખવા વનવીર નામનો હંગામી રાજા આવેલો ત્યારે ભવિષ્યના મહારાણા બાળક ઉદયસિંહને બચાવી લેવા એમની જગ્યાએ પોતાના બાળકને ઘોડિયામાં મરવા માટે સુવડાવી ઉદયસિંહને પન્ના દ્વારા બચાવી લેવાયા હતા. પોતાના બાળકને મરવા દઈ ભવિષ્યના એક ગ્રેટ લીડર(રાજા)ને બચાવી લેનાર પન્નાનું બલિદાન ભારતીય ઇતિહાસમાં અજોડ છે. એ મહારાણા ઉદયસિંહે ઉદયપુર નામનું સુંદર શહેર વસાવ્યું અને એમના પુત્ર તે અજોડ મહારાણા પ્રતાપ…

imagesપશ્ચિમના જગતમાં તો હવે કોઈ સ્ત્રી બ્રેસ્ટફીડીંગ માટે મુશ્કેલી અનુભવતી હોય તે ટીકાનો ભોગ બને તેવું થવા લાગ્યું છે. લોકો મનાવા તૈયાર જ ના થાય કે આવું પણ બની શકે. પણ ઈજીપ્તનો ૧૫૫૦ BC પહેલાનો એક મેડિકલ રિકોર્ડ બતાવે છે કે બાળકને દૂધ આપવા સક્ષમ ના હોય તેવી સ્ત્રીઓ માટે સારવાર ઉપલબ્ધ હતી. સ્વોર્ડફિશના ગરમ હાડકા વડે આવી સ્ત્રીઓના પીઠ પર માલીશ કરવામાં આવતી. મતલબ સ્ત્રી બાળકને પોતાનું દૂધ પિવડાવવા સક્ષમ ના હોય તે પ્રૉબ્લેમ નવો નથી.

ઈશા પૂર્વે ૩૦૦-૪૦૦ વર્ષ પહેલા પૈસાદાર રોમનો પોતાના બાળકોને દૂધ આપી શકે તેવી wet nurses સ્ત્રીઓ ગુલામ તરીકે રાખતા. પણ યુરોપમાં મધ્યયુગમાં એવો વિચાર વહેતો થયો કે wet nurse બાળકને દૂધ પિવડાવે તો એના ગુણો દૂધ મારફતે બાળકમાં આવી જાય. જેથી ધીમે ધીમે wet nurse રાખવાનું બંધ થવા લાગ્યું. ભારતમાં પણ આવી વાર્તાઓ પ્રચલિત હોય છે કે દાસીનું દૂધ તારા પેટમાં બે છાંટા આવી ગયું માટે તુ આવો પાક્યો. આમ ધાવમાતાનું મહત્વ અકારણ ઓછું થવા લાગ્યું.

ગર્ભાવસ્થા દરમ્યાન માતાના સ્તનોમાં ધીમે ધીમે જે દૂધ ભરાય છે તે બહુ કીમતી હોય છે. એમાં તમામ રોગપ્રતિકારક શક્તિઓ ભરેલી હોય છે જે માતા ધરાવતી હોય છે. બાળક જન્મે તરત આ જમા થયેલું દૂધ પહેલું આપવાનું હોય છે, પણ આપણે મૂર્ખાઓ આ દૂધ વેડફી ને ઘી અને ગોળ ચટાડીએ છીએ જે હાલ બાળકને પચે તેવું ના પણ હોય. ગાય-ભેંસના આ સુવાવડ પછીના પ્રથમ દૂધમાંથી બરફી જેવા ચોસલાં પાડી એમાં ઇલાયચી વગેરે નાખી બળી બનાવવામાં આવતી હોય છે. WHO સજેસ્ટ કરે છે કે બાળકને બ્રેસ્ટફીડીંગ ઓછામાં ઓછું બે વર્ષ તો કરાવવું જ જોઈએ.

અમેરિકામાં ગર્ભવતી મહિલાઓ માટે તે બાબતનું જ્ઞાન આપવા સારી સારી હોસ્પિટલો વર્ગ ચલાવતી હોય છે અને તેવી મહિલાઓ સારો પૌષ્ટિક ખોરાક લઈ શકે જેવા કે દૂધ, ઈંડા, બ્રેડ અને ફ્રુટ્સ માટે ૫૦ ડોલર્સના વાઉચર આપવામાં આવે છે. બ્રેસ્ટફીડીંગનાં પોતાના ફાયદાઓ બહુ મહત્વના છે તેમાં કોઈ શક છે જ નહિ. પશ્ચિમની સ્ત્રીઓ તો આ ફાયદા સમજીને ઝડપથી બ્રેસ્ટફીડીંગનું મહત્વ સમજવા લાગી છે અને બીજી સ્ત્રીઓની હેલ્પ વગર એકલી જ એમાં આગળ વધવા લાગી ગઈ છે. થોડીવાર લાગશે પણ ઘડિયાળનું લોલક પાછું એના સ્થાને જતું હોય તેવું લાગશે. 1364583545260_cached

ચુંબનમીમાંસા

 ચુંબનમીમાંસા

136497-136496Kiss me and you will see how important I am,” Sylvia Plath (October 27, 1932 – February 11, 1963) was an American poet, novelist and short story writer) નામની ફક્ત ત્રીસ વર્ષની ઉંમરે દુનિયા છોડી ગયેલી એક કવિયત્રીની આ એક પ્રસિદ્ધ પંક્તિ છે. આ એક સ્ત્રીની સંવેદના છે કે એક ચુંબન કરો પછી ખયાલ આવશે કે તે કેટલી મહત્વની છે. એક ચપટી સિંદૂરની કિંમત તો હવે દંભ બનીને રહી જવાનો છે, એની શરૂઆત થઈ ચૂકી છે પણ એક ચપટી ચુંબન તો કાયમ કિંમતી રહેવાનું જ છે. સખ્યભાવ અને સૌજન્ય દર્શાવવા, માન આપવા અને માતા-પિતા દ્વારા કરાતાં ચુંબનો સિવાય કામોદ્દીપક ચુંબનો દરેક સંસ્કૃતિમાં માન્ય છે. આખી દુનિયામાં બહુમતી લોકો આવું શૃંગારિક ચુંબન કરતી વખતે ઉત્તેજના, આનંદ, અણઆવડત, કઢંગાપણું, વૈચારિક ગભરાટ મહેસૂસ કરતા હોય છે. મુખરસ(સલાઇવ) અને જમતી વખતે સલાડની આપલે જેવો અનુરાગનો આચાર ઇચ્છનીય પળો તરીકે મહત્વનો હોય છે. ચુંબન કામકેલીનું અવિભાજ્ય અંગ છે.

136497-136466અમુક વિશેષજ્ઞોનું માનવું છે કે સંભવિત સેક્સ્યૂઅલ પાર્ટનરની ઇન્ફર્મેશન એકઠી કરવાના મેકનિઝમ તરીકે ચુંબન ઈવૉલ્વ થયેલું છે. ચુંબન શારીરિક સજ્જડ નિકટતા પ્રદાન કરતું હોય છે, એટલું નિકટવર્તી કે તમે સૂંઘી શકો અને સ્વાદ પણ લઈ શકો. આપણી રોગપ્રતિકારક શક્તિઓ અને જિનેટિક સંબંધિત માહિતી ધરાવતા ગૂઢ રસાયણોનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ આપણા ચહેરાની આસપાસ વધુ હોય છે. આપણી લાળ(saliva) હોર્મોનલ સંદેશાઓ ધરાવતી હોય છે. વ્યક્તિના શ્વાસની મહેક, ઓષ્ઠની લહેજત, અને દંતસ્પર્શ સંવેદના વ્યક્તિની તંદુરસ્તી અને હાઇજિન પ્રત્યે ઇશારા દર્શાવી સંતાનોત્પાદક સુયોગ્યતા જતાવતી હોય છે.

માનસિક રીતે જોઈએ તો ચુંબન વ્યક્તિ પ્રત્યેની નિકટતા, ગાઢ અંગતતા અને વિશ્વાસની અભિવ્યક્તિને બળવત્તર કરતું હોય છે. આમ ચુંબન ઘ્રાણેન્દ્રિય અને સ્વાદેન્દ્રિયને સમીપતાનાં ઉત્સવમાં ભાગ લેવા આમંત્રિત કરી એને વધુ ઊંડાણ અર્પતું હોય છે. વધારામાં ચુંબન બીજી વ્યક્તિને આપણા નાજુક અંગત સ્થાન એવા મુખમાં પ્રવેશ આપી ચેપી રોગ પામવાનું જોખમ લેવા સંમતિ દર્શાવતું હોય છે. આવી રોગ પામવાની શક્યતા હોય છતાં ચુંબન થવા દેવા મતલબ સામેની વ્યક્તિ પર વિશ્વાસ હોય છે, એક નિકટતા હોય છે. ખાસ તો ચુંબન સ્ત્રીઓમાં રહેલી સૂગને(Disgust) દૂર રાખવા પ્રેરતું હોય છે. મતલબ માનસિક નિકટતા વગર ચુંબન શક્ય હોતું નથી. માટે માનસિક સમીપતા વગરની સેક્સ્યૂઅલ પ્રવૃત્તિઓમાં ચુંબન ખાસ સામેલ થતું નથી. સેક્સ વર્કરને એના ક્લાયન્ટને ચુંબન કરવામાં કે કરાવવામાં જરાય રસ હોતો નથી. ધંધાના ભાગરૂપે કરે તે જુદી વાત છે.

ચુંબન એટલે કામોદ્દીપક મોહક પ્રલોભન, સ્ત્રીઓના હોઠ અને ઓષ્ઠ્ય ધ્વનિને નકારવાનું બહુ મુશ્કેલ. લાલ રંગ આમેય કામોત્તેજક હોય છે. માટે સ્ત્રીઓ એને લાલ રંગે

Sylvia Plath
Sylvia Plath

રંગતી હોય છે. પુરુષોને ભીનું ચુંબન કરવાનું ગમતું હોય છે માટે ચુંબનમાં પુરુષો જિહ્વાની સામેલગીરી સ્ત્રીઓ કરતા વધુ ઇચ્છતા હોય છે. ભીનું મુખ અને એમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરતી જિહ્વા કામોત્તેજના વધારી સમાગમને વિશિષ્ઠ બનાવી દે છે. પુરુષોને ભીનું ચુંબન વધુ ગમતું હોય છે કેમકે પુરુષોનાં મુખરસમાં testosterone હોય છે જે સ્ત્રી અને પુરુષ બંનેમાં કામ ઉદ્દીપન માટે જવાબદાર હોય છે જેથી ભીના ચુંબન દ્વારા પુરુષ એનું testosterone સ્ત્રીનાં મુખમાં પ્રવેશ કરાવી એની કામોત્તેજના વધારી મૂકવાનું કામ કરતો હોય છે.

ઇવલૂશનરી ઍન્થ્રપૉલજિસ્ટ હેલન ફિશર (Rutgers University, New Jersey) કહે છે ચુંબન વિકાસના ક્રમમાં સંતાનોત્પાદક વ્યૂહરચના તરીકે ત્રણ તબક્કાઓમાં કામ કરે છે. એક તો ચુંબન કામોત્તેજના વધારી બહુવિધ(મલ્ટિપલ) પાર્ટનર સાથે સંભોગ કરવા ઇચ્છા પ્રેરક બનતું હોય છે. ત્યાર પછી રોમૅન્ટિક પ્રેમની ભઠ્ઠીમાં ઈંધણ ઉમેરી એને વધારે પ્રજ્વલિત કરી બહુવિધ પાર્ટનરમાંથી એક પસંદ કરી તેના પ્રત્યે મોહ ઉત્પન્ન કરવા પ્રેરક બનતું હોય છે. અને પછી તે પાર્ટનર સાથે મજબૂત સામાજિક જોડાણ(ફેવિકોલ બૉન્ડ) વધારી બંને પાર્ટનરનાં Genes ધરાવતા સંતાનો ઉછેરવા પ્રેરકબળ બનતું હોય છે.

 Robert Gallup (University of Albany, New York) અને તેમના સાથીઓએ કરેલા સંશોધન મુજબ શૉર્ટ ટર્મ હોય કે લોંગ ટર્મ સ્ત્રીઓ માટે ચુંબન વધુ મહત્વ ધરાવતું હોય છે. રોમૅન્ટિક રિલેશનશીપ માટે સુંદર ચુંબન એકલું પૂરતું હોતું નથી પણ સ્ત્રીઓ પરનો અભ્યાસ બતાવે છે કે ચુંબન કરનાર પુરુષ પાત્રની ગંધ અને સ્વાદ પણ વધુ વજન ધરાવતો હોય છે જે આગળ ચુંબન કરવા દઈને સંબંધ આગળ ધપાવવા મદદરૂપ બને. આમ અસફળ ચુંબન સંભવિત સાથી ગુમાવવાનું કારણ પણ બની શકે. પુરુષને ચુમ્બનમાં અને સ્ત્રીને ચુંબનની ગુણવત્તામાં વધુ રસ હોય છે. પુરુષ ચુંબન પછી સીધો સમાગમની ઇચ્છા ધરાવતો હોય છે. અને ચુંબન સમાગમ તરફ દોરી જાય તેને good kiss સમજતો હોય છે. આમ પુરુષ ચુંબન માટે ઉતાવળો હોય છે અને ચુંબન પછી સમાગમમાં ઊતરવાનું દબાણ સ્ત્રીને કરતો હોય છે, એની ફરિયાદ સ્ત્રીઓને રહેતી હોય છે.

સ્ત્રીઓ માટે ચુંબન કીમતી હોય છે. ઓવુલ્યેશન સમયે  સંભવિત પાર્ટનરની ઇન્ફર્મેશન ભેગી કરવાનો અનકોન્શયસ તરીકો એટલે ચુંબન. જે સ્ત્રી અને પુરુષ પોતાને આકર્ષક ગણાવતા હોય તેઓ ચુંબનને વધુ મહત્વ આપતા હોય છે. જે લોકો વધુ આકર્ષક હોય છે તેઓ પાસે સેક્સૂઅલ ઑપ્શન પણ વધુ હોય તે સ્વાભાવિક છે. તો તેવા લોકો માટે પાર્ટનર પસંદ કરવા અને તેને લલચાવવા માટે ચુંબન એક ટૂલ(tool) બની જતું હોય છે. શૉર્ટ ટર્મ રિલેશનશીપ માટે સમાગમ દરમ્યાન કે સમાગમ પછી કરાતા ચુંબન કરતા સમાગમમાં ઊતરતા પહેલાનું ચુંબન વધુ મહત્વનું બની રહેતું હોય છે તેવું અભ્યાસ બતાવે છે. જ્યારે લોંગ ટર્મ રિલેશનશીપમાં સમાગમ પહેલા, સમાગમ દરમ્યાન કે સમાગમ પછીનાં ચુંબનો સરખું જ મહત્વ ધરાવતા હોય છે તેવું અભ્યાસ જણાવે છે.

ચુંબન લોંગ ટર્મ રિલેશનશીપની ક્વૉલિટી સુધારવામાં પણ મહત્વનું બની રહેતું હોય છે. Kory Floyd ( Arizona State University) કરેલા સંશોધન મુજબ વધુ ચુંબન કરવાનું સૂચવ્યા પછી તે સૂચના અમલમાં મૂક્યા પછી તે લોકોના કલેસ્ટરૉલ અને સ્ટ્રેસ હૉર્મોન ઘટ્યા હતા. Wendy Hill (Lafayette College  Pennsylvania) કરેલા સંશોધન મુજબ રોજનું પંદર મિનિટ ચુંબન કરનાર લોકોના stress hormone cortisol લેવલમાં ઘટાડો નોંધાયો હતો. તારણ એવું નીકળે છે કે ટૂંકા ગાળાના સંબંધમાં ચુંબન સમાગમ તરફ વધુ ઝોક ધરાવતું સંભવિત સાથીની પસંદગી અને પ્રલોભન તરીકે વપરાતું જણાય છે. જ્યારે લાંબા ગાળાના સંબંધમાં ચુંબન માનસિક સમીપતાની અભિવ્યક્તિ તરીકે અને સંબંધમાં નિકટતા વધારવામાં બહુ કામ લાગે છે. પુરુષ માટે ચુંબન સીધું સેક્સમાં ઉતારવાનો ગેટવે અને ઓવરટાઈમ ઘટાડવાનો નુસખો જ્યારે સ્ત્રીઓ માટે ચુંબન વધુ મહત્વનું, તંદુરસ્ત પાર્ટનરની પસંદગી અને સંબંધ લાંબો લાંબો સમય ટકાવી રાખવાનું તેને બળવત્તર બનાવવાનું મહત્વનું પ્રેરકબળ બનતું હોય છે. પુરુષને ચુંબન સાથે સેક્સમાં વધુ રસ હોય છે જ્યારે સ્ત્રીને ચુંબન વખતે સેક્સ કરતા જે તે પુરુષના સ્વાદ અને સુગંધમાં રસ વધુ હોય છે.136497-136494

આ ચુંબનમીમાંસાનો વારંવાર પાઠ કરનારનું કલેસ્ટરૉલ ઓછું થશે, વધારે હશે તો ઓછું થશે બાકી સરખું જ રહેશે, સ્ટ્રેસ હૉર્મોનમાં ઘટાડો થવાથી સ્ટ્રેસ પણ ઓછો થશે. અલ્યા ભાઈઓ અને બહેનો આનો વારંવાર પાઠ કરવાને બદલે પોતપોતાના જીવનસાથીને ચુંબનો વધુ ચોડશો તો ફાયદો થશે. આ કોઈ સત્યનારાયણની કથા નથી તે રોજ રોજ જપ્યા કરવાથી ફાયદો થાય. વાંચો વંચાવો અમલમાં મુકો.

Bhupendrasinh Raol, Edison NJ.  11 November 2013

સંજય લીલા ભણશાળીની સર્જનાત્મક બૌદ્ધિક બદમાશી

સંજય લીલા ભણશાળીની સર્જનાત્મક બૌદ્ધિક બદમાશી

પીંઢારા શબ્દ વિષે કેટલા જાણતા હશે? આ શબ્દ શેના માટે વપરાય છે તે પણ મોટાભાગના લોકોને ખબર નહિ હોય. ભણેલા ગણેલા અને રાજકીય બાબતોમાં રસ ધરાવનાર લોકોમાં આ શબ્દ થોડોઘણો પ્રચલિત છે એનું કારણ બ્રિટનના બીજા વિશ્વયુદ્ધ સમયના વડાપ્રધાન ચર્ચિલ છે. કારણ ભારતને આઝાદી આપવાના નિર્ણય સામે તે સમયના બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન ઍટલીને આ ચર્ચિલે કહેલું કે તમે ઠગ અને પીંઢારાઓને રાજ પાછું આપી રહ્યા છો. ચર્ચિલનું આ વાક્ય ઇતિહાસમાં અમર થઈ ગયું છે. અને આપણા નેતાઓએ આ વાક્ય સાચું પણ પાડ્યું કે ખરેખર ચર્ચિલ સાચો હતો. સ્વિસ બેન્કોમાં પડેલા ભારતના લોકોની પરસેવાની કમાણીના ૧૫૦૦ બિલ્યન ડૉલર્સ એની સાબિતી છે. હવે તો સમજાઈ ગયું હશે કે પીંઢારા શબ્દ શેના માટે વપરાતો હશે.

મૂળ પીંઢારા મુઘલ બાદશાહોનાં મોટાભાગે નામ પાછળ ખાન લગાવતા પઠાણી સૈનિકો હતા. કાળક્રમે પગાર આપવાના ફાંફાં પડી જતા છૂટાં મૂકી દેવાયેલા ભૂખ્યા વરુઓ. મુસલમાન ઇતિહાસકાર ફીરીસ્થાએ ઈ.સ.૧૬૮૯માં નોંધ્યા મુજબ  ઔરંગઝેબના લશ્કરમાં મુસલમાન પઠાણોની અમુક ટુકડીઓ સામાન્ય નાના નાના કામો માટે રાખવામાં આવતી હતી. મુસલમાનો નબળા પડ્યા ને મરાઠાઓ મજબૂત થયા ત્યારે આ ટુકડીઓ મરાઠાઓના લશ્કરમાં કામ કરવા લાગી. છત્રપતિ શિવાજી સુધી તો એમની સેવાઓ લીધી નહોતી,  પણ બાલાજીરાવે ગર્દીખાનની રાહબરી નીચે આ લોકોને સેવામાં રાખ્યા. આ લોકોનું કામ યુદ્ધ પત્યા પછી સામી છાવણીઓમાં આતંક ફેલાવવાનું અને લૂંટફાટ મચાવી બધું સળગાવી દેવાનું રહેતું. એટલે પીંઢારાનો જન્મદાતા ઔરંગઝેબ અને એમનો વિકાસ કરનારા  પાલનહાર એટલે મરાઠા.

લુટારાઓની  કોઈ જાત હોતી નથી. નર્મદાનો ખીણ પ્રદેશ આ લોકોનો ગઢ હતો. સંતાડેલા ગુપ્ત ધનની માહિતી ઓકાવવા પીંઢારા માણસના નાક અને મુખમાં ગરમ કોલસા અને રાખ ભરતા, એની સ્ત્રી પર બળાત્કાર કરતા, એના બાળકના તલવાર વડે બે ભાગ કરી નાખતા. ગામના મુખીને પકડીને આખી રાત ટૉર્ચર કરતા જેથી ગામના લોકો વધુને વધુ ધન આપે, મુખીનું એક એક અંગ ધીમે ધીમે કાપતા અને છેવટે એનું હૃદય કાઢી લેવામાં આવશે તેવી ચેતવણી આપતા. આ પીંઢારાઓનો નાશ મરાઠી રાજાઓનો સહકાર લઈને અંગ્રેજોએ કરેલો એના માટે અંગ્રેજોને થેન્ક્સ કહેવા જોઈએ.

હવે સલમાનખાનનું ‘વીર’ મુવી જેણે જોયું હશે તેને ખયાલ આવી જશે કે આ ખાન બંધુઓએ કેવી રીતે સર્જનાત્મક બૌદ્ધિક બદમાશી કરી છે. કદાચ એમના મૂળિયા આ પીંઢારાઓમાં હોવા જોઈએ. એટલે ‘વીર’ મુવીમાં પીંઢારાઓને દેશભક્ત અંગ્રેજોમાં સામે સ્વતંત્રતાની લડાઈ લડતા વીર સૈનિકો બતાવી દીધા. ઇતિહાસની માબેન સર્જકતાને બહાને કરી નાખી. ફિલ્મ શરુ થતા લખી નાખવાનું કે આ કાલ્પનિક વાર્તા છે કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહિ. પણ લોકોના મનમાં દ્રશ્યશ્રાવ્ય મીડિયાની ભયાનક અસર પડતી હોય છે. આપણે જોએલું  જલ્દી સાચું માની લેતા હોઈએ છીએ ભલે પડદા ઉપરનું હોય. ફિલ્મોમાં કે ટીવીમાં દ્રૌપદીનાં ચીર પૂરતા કૃષ્ણને જોઈ કોઈને વિચાર નહિ આવે કે તે ૫૦૦૦ વર્ષ પહેલાના જમાનામાં સુરતની સાડીઓ હતી નહિ.

મિત્ર રાજીવ જોશીનું કહેવું છે કે “સામ્યવાદની અસર હેઠળ બંગાળી ફિલ્મ નિર્માતાઓએ જમીનદાર કાયમ ખરાબ, વ્યાપારી અને પૂજારી હંમેશા લુચ્ચો સાથે ભારતની ગરીબી અને ઝૂપડપટ્ટીઓનું ચિત્રાંકન કરી વિદેશોમાંથી ખૂબ એવૉર્ડ ભેગાં કરેલા. મુસ્લિમ ચાચા હમેશાં ઈમાનદાર, હીરો મંદિરમાં ના જાય પણ ૭૮૬ના  બિલ્લાને આખો દિવસ માથે લગાવ્યા કરે અને અડ્ડા બધા માઈકલનાં જ હોય.”

મૅમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છે તે સોશિઅલ સાયન્સની રીતે જોઈએ તો જૈવિક સત્ય છે. પોતાના સમૂહથી છુટું પડેલા કોઈ પણ મૅમલ પ્રાણીનાં બ્રેનમાંથી તરત સ્ટ્રેસ કેમિકલ કૉર્ટીસોલ છૂટવા લાગે છે તે સંભવિત જોખમનો ઉપાય કરો તેની સૂચના આપતું હોય છે. જલ્દી સમૂહમાં પાછાં ભળી જાઓ નહીતો માર્યા જશો તેવી ચેતવણી આપતું હોય છે. ટોળાથી વિખૂટું પડેલું ઘેટું તરત મેં મેં કરવા લાગતું હોય છે. બીજા મૅમલ પ્રાણીઓ કરતા માનવો મોટું વિચારશીલ બ્રેન ધરાવે છે એટલે બહુ મોટી કૉમ્પલેક્ષ સમાજ વ્યવસ્થા ધરાવે છે. પહેલો સમૂહ વ્યક્તિનું અંગત કુટુંબ હોય છે, માબાપ અને એમના સંતાનો. એના કરતા થોડો મોટો સમૂહ કાકાબાપા પિતરાઈ ભાઈઓ વગેરેનો સમૂહ હોય છે. પછી સમૂહ વિસ્તરતા એકજ બ્લડ લાઈન ધરાવતી જ્ઞાતિ અને વંશ આવે. વળી આવા અલગ વંશ કે જ્ઞાતિ ભેગી થઈને વસતું ગામ પણ એક જાતનો વિશાલ ફલક પરનો સમૂહ જ ગણાય. આમ પ્રાંત અને દેશ પણ બહુ મોટા મોટા ફલક પરના સમૂહ કહેવાય.

પ્રાણીઓને બહુ વિચારવાનું હોતું નથી માટે એમની સમાજ વ્યવસ્થા બહુ જટિલ હોય નહિ. માનવી ખૂબ વિચારે છે માટે એની સમાજ વ્યવસ્થા બહુ જટિલ હોય છે. માનવીનો પ્રૉબ્લેમ હોય છે કે અમુક સમય સમૂહમાં રહીને પણ એકલો જીવવા માંગતો હોય છે. મોટા સમૂહના રક્ષણ સાથે બહુ નાના ગૃપમાં રહેવાની ઇચ્છા ધરાવતો હોય છે. કોઈ લગ્ન કે પાર્ટીમાં સૌ પોતાના નાના ગૃપ બનાવી બેસી જતા હોય છે. સામાજિક બહિષ્કાર વખતે જીવના જોખમ જેટલું જ જોખમ એનું બ્રેન અનુભવતું હોય છે. ગામ, પ્રાંત કે દેશમાં જુદા જુદા સમૂહો ભેગાં જ રહેતા હોય છે છતાં આ સમૂહો એકબીજા વડે જોખમ અનુભવતા હોય છે. એકબીજાની સાથે રહેવું છતાં એકબીજા વડે જોખમ-થ્રેટ અનુભવવાનું સામાન્ય હોય છે.

ઘરમાં લડતા ભાઈઓ કુટુંબ સામું પડે ત્યારે એક થઈ જતા હોય છે. કુટુંબમાં લડતા વ્યક્તિઓ પણ ગામનાં લોકો લડવા આવે ત્યારે એક થઈ જતા હોય છે. મોટા સમૂહ તરફથી થ્રેટ અનુભવાય તો નાના નાના સમૂહ એક થઈને મોટો સમૂહ બનાવી મુકાબલો કરતા જ હોય છે. આ થીઅરી જુઓ તો બીજા રાજ્ય તરફથી જોખમ અનુભવાય તો સમગ્ર ગુજરાત અમે ગુજરાતી તરીકે એક થઈ જવાનું ભલે રોજ અંદર અંદર લડતા હોય. આમ જ પાકિસ્તાન સામે આખું ભારત એક થઈ જવાનું તે વખતે આમચી મુંબઈ, જય જય ગરવી ગુજરાત કે જય મહારાષ્ટ્ર જેવા મંત્ર ભુલાઈ જતા હોય છે. ત્યારે ભારત માતાકી જય સહુ પોકારવા લાગશે. કોઈ પરગ્રહવાસી ચડી આવે તો સમગ્ર પૃથ્વી પરના માનવ સમૂહો કે જેને આપણે દેશો તરીકે ઓળખીએ છીએ તે એક થઈ જવાના. નાના સમૂહના સ્વાર્થ કરતા મોટા સમૂહનો સ્વાર્થ કે ફાયદો ઉત્તમ ગણવામાં આવતો હોય છે, એને આપણે પરમાર્થ કહેતા હોઈએ છીએ. કુટુંબ માટે વ્યક્તિઓ બલિદાન આપતા હોય છે. રાષ્ટ્ર માટે જાતિવાદ અને પ્રાંતવાદ ભૂલી જવો પડતો હોય છે. સમાજ મતલબ પોતાના મોટા સમૂહ માટે વ્યક્તિગત ફાયદા ભૂલીને સમાજના હિતમાં કામ કરે તેને પરમાર્થ કહેવાય. વ્યક્તિગત હિત જવા દઈને આખા ગામ કે જેમાં બીજા સમાજો પણ રહેતા હોય છે તેવા સમગ્ર ગામ, રાજ્ય કે દેશ માટે કામ કરે તેને સ્વાભાવિક ઊંચું ગણવામાં આવે.

   ચાલો આટલાં પિષ્ટપેષણ પછી મૂળ વાત પર પાછાં ફરીએ. ૧૯૯૯માં કચ્છનાં નખત્રાણા તાલુકામાં બિબર ગામમાં થયો હશે કોઈ વિખવાદ બાવજીભા જાડેજાનું ભણસાલી કોમની ટોળીએ ખૂન કર્યું. ત્યાર પછી સામે બદલો લેવાની કાર્યવાહી તો થવાની એમાં ગામ સળગ્યું અને સામે કેટલાક ભણશાળીની પણ હત્યાઓ થઈ. આપણે જાણીએ છીએ કે આ બધું ખોટું જ થયું છે. ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલી આ નખત્રાણા તાલુકાના બિબર ગામનો. એમનું મોસાળ રાજસ્થાનમાં છે. જાડેજા દરબારો અને કચ્છી ભણસાલી વચ્ચેની આ જૂની પણ બહુ જૂની પણ ના કહેવાય તેવી દુશ્મની સંજય લીલા ભણશાલીનાં દિમાગમાં રમતી તો હોય જ.

ભાનુશાળી કહો કે ભણસાલી કહો હિંદુઓમાં વૈશ્યની કેટેગરીમાં આવતા મૂળ હાલ પાકિસ્તાનમાં ગણાતા સિંધના બલુચિસ્તાન બાજુથી કચ્છમાં આવેલા. કોઈ ચોક્કસ ઇતિહાસ મળતો નથી પણ સિકંદર ભારત પર ચડી આવ્યો તે સમયે સલામતી ખાતર અંતરિયાળ ગણાતા કચ્છમાં આવીને વસ્યા હશે. ઘણા મુઘલ કાળમાં કચ્છમાં વસ્યા હશે તેવું પણ કહે છે. સિંધ તે સમયે બૉર્ડર પર ગણાય એટલે બૉર્ડર પર વસવાટ આમેય અઘરો એટલે સલામતી ખાતર કચ્છમાં આવી ગયા હશે. વસવાટના આધારે કચ્છમાં વસેલા કચ્છી ભાનુશાળી અને હાલાર(જામનગર) વસેલા હાલારી ભાનુશાળી કહેવાતા હોય છે. કચ્છમાં સેંકડો વર્ષોથી જાડેજાઓનું રાજ હતું. એમ જામનગરમાં પણ જાડેજા વંશ રાજ કરતો. કચ્છમાંથી જામનગર બોલાવી ભાનુશાળીઓને વસાવનારા પણ જામનગરના જાડેજા રાજવીઓ જ હતા. જામનગર અને કચ્છના જાડેજા રાજાઓએ આ કોમને પાળી પોષી વસવાટ કરવાની સગવડો આપી તે જાડેજા દરબારો માટે આ રીતે ખરાબ ચિત્રાંકન કરી દુશ્મની કાઢવી અને તે પણ ફક્ત એક ગામના બે કોમ વચ્ચેના વિખવાદને લઈને? કેટલું યોગ્ય છે?

પણ આ સર્જક બહુ ચાલાક છે. રામલીલા મુવી બનાવ્યું એમાં મુખ્ય અભિનેત્રી જાડેજા ફૅમિલીની બતાવી પણ મુખ્ય અભિનેતા ભણસાળી કોમનો બતાવે એટલો મૂરખ તે છે નહિ. આ લવ સ્ટોરીનું સ્ત્રી પાત્ર જાડેજા પણ પુરુષ પાત્ર રબારી કોમનું બતાવી દીધું. વળી બે કોમ વચ્ચે ૫૦૦ વર્ષ જૂની દુશ્મની બતાવી દીધી. દરબારો અને રબારીઓ વચ્ચે દુશ્મનીનો કોઈ ઇતિહાસ છે જ નહિ. ઉલટાના રબારીઓ તો રાજપૂતોની બેન દીકરીઓના વળાવિયા તરીકે એમનું રક્ષણ કરવાનું કામ કરતા અને જરૂર પડે રાજપૂતોની દીકરીઓ માટે જીવ પણ આપી દેતા. તો સામે પક્ષે ગોપાલક રબારીઓની ગાયોનું રક્ષણ કરવા આ રજપૂતોએ પોતાના માથા આપ્યા છે. જે બે કોમ હજારો વર્ષોથી સંપીને રહી હોય તેના વચ્ચે દુશ્મની હોય તેવો ઇતિહાસ બતાવી દેવો તે પણ ફિક્શનના બહાને કેટલો વાજબી છે? હજુ તો ફિલ્મ રજૂ થઈ નથી ત્યાં રાજપૂત અને રબારી સમાજ એકબીજા વડે થ્રેટ અનુભવવા લાગ્યો છે. જે સમાજો એકબીજાના કદી દુશ્મન હતા નહિ તે હવે દુશ્મન બનશે. એની શરૂઆત થઈ ચૂકી છે.

એક મિત્ર સાવજરાજ સોઢા જણાવે છે, “રબારી અને જાડેજા રાજપૂત સમાજ વચ્ચે જે આજસુધી સંબંધો રહ્યાં છે એવાં કોઈ પણ સમાજો વચ્ચે સૌહાર્દ અને આત્મીય સંબંધો નહી હોય. પણ રામલીલાની ચર્ચા પછી એ બંને સમાજ કટ્ટર દુશ્મન જેવાં બની ગયાં છે.. આપ તે સમયની ફેસબુક પરની રબારીઓ અને રાજપૂતોની ચર્ચા જોજો ગાળો સિવાય ભાગ્યે કાંઈ હશે.. આ સમાજોમાં ફેલાયેલી કડવાશ માટે જવાબદાર કોણ? માત્ર રામલીલા. ભુજ રામલીલાનાં વિરોધ વખતે બંને સમાજ વચ્ચે ઝગડો થયો આઠેક જણાં ઘાયલ થયાં જવાબદાર કોણ…??? રામલીલા.” જે ફિલમ હજુ આ લખાય છે ત્યાં સુધી રજૂ થઈ નથી, રજૂ થશે પછી શું થશે?

લખેલું વંચાય એવું કહેવાય છે તેમ જોએલું મનાય તે પણ એટલું જ સાચું છે. ભલે આપણે લાખવાર કહીએ કે કાલ્પનિક સ્ટોરી છે પણ દ્રશ્યશ્રાવ્ય માધ્યમ બહુ પાવરફુલ હોય છે. એ સીધું તમારા બ્રેનમાં ઊતરી જશે. તમારા ન્યુરૉન્સને જકડી લેશે. આપણે જાણીએ છીએ કે આ પડદા પર દોડતા ચિત્રો છે છતાં ફિલ્મના કરુણ દ્ગશ્યો જોતા જોતા આપણે રડતા હોઈએ છીએ. હોરર મુવી જોઇને હાર્ટઍટેક આવ્યાનાં અને મરી ગયાના દાખલા પણ નોંધાયેલા જ છે.

આ વાર્તા કાલ્પનિક છે અને એમાં આવેલા પાત્રો સાથે કોઈ સામ્યતા દેખાય તો અકસ્માત સમજવો તેવું કેટલા સમજતા હશે? આવી સૂચનાઓ ભૂલી જવાતી હોય છે. આવી સૂચનાઓ ભવિષ્યમાં આવનારા વિવાદો ટાળવા પૂરતી જ લખાતી હોય છે. ફિલ્મોના બનાવટી પાત્રો સાથે આત્મીયતા બંધાઈ જતી હોય છે. એક સમભાવ કેળવાતો હોય છે. હું કોઈ ગુંડાને મારી શકતો ના હોઉં પણ બચ્ચનને મારતો જોઈ મને અચેતનરૂપે હું મારતો હોઉં તેવું લાગે. હું બચ્ચન સાથે ઇન્વોલ્વ થઈ જતો હોઉં. આમ મારી ગુંડાને મારવાની ઇચ્છાની પાદપૂર્તિ થઈ જાય. ફિલમ જોઈને એક તૃપ્તિ સાથે બહાર નીકળીએ ત્યારે હેપી હેપી થઈને નીકળીએ કે મજા આવી ગઈ. પણ શેની મજા આવી તે ભલે કૉન્શિયસલી ના સમજાય પણ મજા આવી ગઈ તેટલું તો સમજાઈ જાય છે.

ફિલ્મો જોઈ કોઈ હિંસા કરતું નથી. ક્યાંક કોઈ બનાવ બન્યો હશે બાકી મોટાભાગે આપણી અંદર રહેલી હિંસાનું હિંસક ફિલ્મો જોઈ કૅથાર્સિસ થઈ જતું હોય છે. ફિલ્મોના દુઃખી પાત્રો સાથેનાં દુઃખો સાથે આપણા દુઃખોની સામ્યતા કેળવાઈ જતી હોય છે. હીરોના કરુણ મૃત્યુ સાથેનો અંત જોઈ રડતા રડતા ભલે બહાર આવીએ પણ એક અજાણ્યો ના સમજાતો તૃપ્તિનો ઓડકાર ખવાઈ જતો હોય છે. કારણ દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક કહેવાતા દુઃખો અને કરુણ અંત સમાયેલા જ હોય છે. ચાલો આપણે એકલાં દુઃખી નથી બીજા પણ આપણા જેવા છે જ. મૃત્યુ પામતા હીરો પ્રત્યે આપણી અંદર રહેલી કરુણા વહેવા લાગતી હોય છે. આપણે ભૂલી જઈએ છીએ કે આ હીરો તો હજુ જીવે છે ખાલી પડદા પર મર્યો છે. ‘આનંદ’ આજે પણ હીટ છે. રાજેશખન્નાનું ‘બાબુ મોશાય’ આજે પણ કાનમાં એટલું જ ગુંજે છે.

કાલ્પનિક ફિલ્મોની પડતી મનોવૈજ્ઞાનિક અસરોની અવગણના તમે કરી શકો નહિ. આ ભારતીય સમાજ છે, અહીં એક કાલ્પનિક ફિલ્મ બનાવી સંતોષી માતા ઉભા કરી શકાય છે. આ ભારતીય સમાજ છે જ્યાં કાલ્પનિક કવિતા લખી ‘રાધા’ ઊભી કરી શકાય છે અને તેની પાછળ આખા દેશને ગાંડો કરી શકાય છે. મેં તો ત્રણ વર્ષ પહેલા લખેલું કે રાધા મહાભારત, હરિવંશ પુરાણ કે ભાગવતમાં ક્યાંય નથી. ઑથેન્ટિક ગણવામાં નહિ આવતા એવા બ્રહ્મવૈવર્ત પુરાણમાં રાધા કૃષ્ણની મામી છે. છતાં એક જયદેવ કાલ્પનિક રાધાનું સર્જન કરી આખા દેશને પાગલ બનાવી શકે છે. હવે જો સદીઓ પહેલા લખેલી એક કવિતા પાછળ જો દેશ ગાંડો બની શકતો હોય તો આવી દ્રશ્યશ્રાવ્ય ફિલ્મ બનાવી શું ના કરી શકાય?

ભણસાળી અને દરબારો વચ્ચેની દુશ્મની તે પણ એક ગામ પૂરતી છે તેને મિટાવવાનાં પ્રયત્નો  કરવાને બદલે આ સર્જકે આખા કચ્છ અને સૌરાષ્ટ્રના દરબારો અને રબારીઓ વચ્ચે દુશ્મની ઊભી કરી દેવાનો હીન પ્રયત્ન કર્યો છે. એની આ હીનતા રબારીઓ અને દરબારોએ ઓળખી લેવી જોઈએ અને અંદર અંદર લડી એની આ હલકટ ચાલમાં આવી જવું ના જોઈએ. આ દેશમાં એક ગાય વાછરડાનું ચૂંટણી પ્રતીક મૂકીને લોકોને ઈમોશનલી છેતરી ચૂંટણી જીતી શકાય છે. રામના રથ કાઢી લોકોની ધાર્મિક ભાવનાઓનો વેપલો રાજકીય હેતુ માટે કરી શકાય છે. લોકોએ એમના ન્યુરૉન્સ વાપરવા જોઈએ.

આ દેશમાં જ્ઞાતિવાદ સજ્જડ છે. જ્ઞાતિ એક સમૂહ છે અને મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છે તે હકીકત ભૂલવી ના જોઈએ. જ્ઞાતિવાદના પ્રકાર બદલાશે પણ સમુહવાદ તો જીવતો રહેવાનો જ છે. પણ તમે એટલું કરી શકો કે એક જ્ઞાતિને બીજી જ્ઞાતિ કરતા ઊંચી કે નીચી ના માનો. વ્યક્તિગત કે નાના સામૂહિક સ્વાર્થને જતા કરી મોટા સામૂહિક સ્વાર્થમાં બદલી પરમાર્થ જેવું નામ આપી શકો. વ્યક્તિગત કે નાની નાની સામૂહિક ભક્તિ સાથે ક્રમશઃ મોટી ને મોટી સામૂહિક ભક્તિ વધારી એને રાષ્ટ્રપ્રેમ તરફ વાળી શકો છો. છેવટે માનવતાવાદ તરફ પણ આજ રીતે જઈ શકાય. કવિશ્રી ઉમાશંકર જોશી પાછલી જીંદગીમાં એમને વિશ્વમાનવ તરીકે ઓળખાવતા હતા. કેટલી ઊંચી સંવેદનશીલતા કહેવાય?

આપણે ત્યાં કોમવાદ સજ્જડ છે માટે રાષ્ટ્રવાદ કમજોર છે. માણસ નાના નાના સમૂહ બનાવીને તો રહેવાનો જ છે પણ વર્ણવ્યવસ્થાના સજ્જડ ધારાધોરણોની જરૂર નહોતી. અહીં દરેક કોમની ચોક્કસ ડેફીનેશન છે, કે વાણિયા એટલે આવા, દરબાર એટલે આમ, બ્રાહ્મણ એટલે આવા, પટેલ એટલે આવા એમાય કડવા એટલે આવા અને લેઉંઆ એટલે આવા. હવે પટેલને તમે મખ્ખીચૂસ કહી શકો ખરા? આ ડેફીનેશન બહાર તમે બતાવો એટલે જે તે સમાજ તરત થ્રેટ અનુભવી વિરોધ કરવાનો જ છે. જાડેજાની દીકરીને અશ્લીલ હરકતો કરતી કે ભાષા બોલતી બતાવો એટલે તરત તે સમાજ થ્રેટ અનુભવી વિરોધ કરવાનો.

સિંધના સુમરા(મુસ્લિમ રાજવી)એ તેના તાબાના કોઈ ગામની મુસ્લિમ દીકરીઓની લાજ લૂટવા માટે બંદી બનાવેલી ત્યારે તે બધી ગમે તેમ નાસી જઈને કચ્છમાં આવી અને ત્યારે અબડાસાના જામ અબડાજી જાડેજા એ તેમને આશરો આપીને યુદ્ધ કરેલ અને વિજય મળેલ અને તે દિવસ અષાઢી બીજ હતી અને તે દીકરીઓ ને મુક્ત કરાવીને નવું જીવન આપવા બદલ તે દિવસને કચ્છી નવું વર્ષ તરીકે ઊજવાય છે. ભણશાળીઓને કચ્છમાં અને જામનગરમાં સુખરૂપ વસાવનારા આ જાડેજા રાજાઓ જ હતા.

દરબારોએ એમની રીતે આ ફિલ્મનો વિરોધ કર્યો. શક્તિ પ્રદર્શન થયું, તોડફોડ થઈ, જાહેર હિતની અરજી થઈ. પણ સામે સંજય લીલા કપિલ સિબ્બલ અને એના જેવા બીજા 001[1]મહારથીઓને લઈને આવી ગયો. કોર્ટે ચુકાદો આપ્યો કે જાડેજા અને રબારી શબ્દો ફિલ્મમાંથી કાઢી નાખવા. એડીટીંગ કરીને ફિલ્મ રજૂ કરવી. પણ એનો કોઈ અર્થ નથી. રબારી શબ્દ કાઢી નાખશે પણ રબારી ડ્રેસકોડ કઈ રીતે બદલશે? દરબારનો જે ડ્રેસકોડ વપરાયો હશે તે ક્યાંથી કાઢી નાખશે? સદીઓથી રબારીને ઓળખવા અહીં નામની ક્યાં જરૂર હતી? કોર્ટે ખરેખર આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા જેવો હતો. ગુજરાત પૂરતો તો મૂકી જ શકાય. સામસામે થોડા માણસો મરે તેની કોર્ટ કદાચ રાહ જોતી હશે.

 બસ અહીં જ દરબારો અને રબારીઓએ સંયમ રાખી અહિંસક વિરોધ કરી સંજય લીલા ભણશાલીની બે કોમ જે કદી એકબીજા સાથે લડી જ નથી તેને લડાવી મારવાની ચાલમાં આવી ગયા વગર સંપીને રહેવું જોઈએ.

રાઓલ ભૂપેન્દ્રસિંહ રતનસિંહ,

એડિસન, ન્યુ જર્સી.

 ૪ નવેમ્બર ૨૦૧૩.

યાવતચંદ્રદિવાકરો રાજ કોઈના તપતાં નથી

યાવતચંદ્રદિવાકરો રાજ કોઈના તપતાં નથી

યાવતચંદ્રદિવાકરો(સૂરજચંદ્ર તપે ત્યાં સુધી) રાજ કોઈના ટકતા નથી, ટક્યા નથી અને ટકવાનાં પણ નથી. જગત સતત પરિવર્તનશીલ છે. ધીમી ગતિનું મક્કમ પરિવર્તન આપણે સ્વીકારી શકતા નથી પછી ઇતિહાસને વખોડતા હોઈએ છીએ કે પહેલા આણે આમ કર્યું હોત તો આજે આમ નાં હોત. એક સમયે યુરોપમાં રોમન સામ્રાજ્યનો સૂરજ તપતો હતો છેક ઈજીપ્ત સુધી રોમન સામ્રાજ્યનો ડંકો વાગતો હતો. મોટા નગર વસાવવાનું એમણે શરૂ કરેલું એમ કહેવાય છે. એક સમયે આર્યાવર્ત પર આર્યોનો પચ્છમ લહેરાતો હતો. આર્યાવર્ત કોઈ નાનું નહોતું. ભારત અફઘાનિસ્તાન અને ઈરાન સુધી આર્યોનો ધ્વજ ફરકતો હતો. યુધિષ્ઠિરનાં બે બાહોશ ભાઈઓ ભીમ અને અર્જુન ભારતના સીમાડા બહાર એમનો ધ્વજ ફરકાવી ચૂક્યા હતા, ત્યાં પશ્ચિમ ભારતમાં કૃષ્ણ ડંકો વગાડી રહ્યા હતા. કૃષ્ણની દ્વારકાનો વેપાર રોમ સાથે પણ ચાલતો. પુરાતત્વ ખાતાના ડૉ રાવ ડૂબેલી દ્વારકાની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે એમને રોમન સ્ટાઇલનાં દારુ ભરવાના પીપ મળ્યા હતા.

ભગવાન કહેવાતા કૃષ્ણ લાચારીસહિત યાદવોને લડતા અને એમનો નાશ થતા જોઈ જ રહ્યા હતા. કૃષ્ણે આમ કર્યું હોત કે તેમ કર્યું હોત તો યાદવોનો નાશ ના થયો હોત એવું આજે આપણે કહેવું હોય કહી શકીએ છીએ. આજનું મીડિયા કહી શકે છે યાદવકુલનાં નાશ પાછળ વિદેશી તત્વોનો હાથ છે, કે ભાઈ રોમન બનાવટનાં દારૂ ભરવાના પીપ જો મળ્યા છે અને દારૂ પી છાકટા બની યાદવો અંદરોઅંદર લડીને મર્યા. પણ આ બધું કૃષ્ણ જાતે જોઈ રહ્યા હતા. કૃષ્ણે આમ કર્યું હોત કે તેમ કર્યું હોત તો મહાભારતના યુદ્ધમાં થયેલો સર્વનાશ પણ રોકાઈ શક્યો હોત કે નહિ? કૃષ્ણ ચોક્કસ રોકી શક્યા હોત એવું વિચારી જૈનો કૃષ્ણને દોષ દેતા જ હોય છે અને એટલે એમને સાતમાં નરકમાં નાખેલા છે. હું અમસ્તો નરકમાં ફરવા થોડો ગયો હોઈશ? કૃષ્ણનો ઈન્ટરવ્યું લેવા ગયેલો.

untitled-=-=કૃષ્ણ મહાભારત રોકી શક્યા હોત તેવું આજે જૈનો વિચારે છે અદ્દલ તે જ રીતે આજે આપણે પૃથ્વીરાજ ચૌહાણ વિષે વિચારીએ છીએ કે પૃથ્વીરાજ હાર્યો નાં હોત કે એણે ઘોરીને ૧૬ વાર માફ ના કર્યો હોત તો આજે ઇતિહાસ જુદો હોત. મુસલમાનો ભારતમાં ના હોત વગેરે વગેરે. ચાલો પૃથ્વીરાજ જીતી ગયો હોત તો પણ ઇતિહાસ આજે છે તે જ હોત. પહેલું તો ઘોરી ૧૬ વાર ચડાઈ કરવા આવ્યો જ નહોતો. પૃથ્વીરાજ અને ઘોરી વચ્ચે બે જ વાર લડાઈ થયેલી. પહેલીવાર તે ઓછા સૈન્યબળ સાથે આવ્યો હશે કે જે હોય તે, પૃથ્વીરાજ સામે ટક્યો નહિ અને ભાગી ગયેલો. બીજીવાર પૂરતી તૈયારી કરીને આવ્યો હશે તે પૃથ્વીરાજ હાર્યો એને પકડીને તે લઈ ગયો હતો. હારેલા પૃથ્વીરાજને ગ્લોરીફાઈ કરવા કવિઓએ બનાવટી વાર્તાઓ રચી કાઢી કે ૧૬ વાર માફ કર્યો અને અંધ બનાવેલા પૃથ્વીરાજે શબ્દવેધી બાણવિદ્યા દ્વારા ઘોરીને હણી નાખ્યો તેનું ઐતિહાસિક પ્રમાણ મળતું નથી. પૃથ્વીરાજનાં મર્યા પછી ઘણા વર્ષો બાદ ઘોરી મરાયો છે તેવું ઇતિહાસ કહે છે.

ચાલો પૃથ્વીરાજ જીતો ગયો ને ઘોરી ભાગી ગયો તે સમય પૂરતા મુસલમાનો બહાર રોકાઈ ગયા પણ પછી? ઘોરી એ મરી ગયો પણ પછી? ઘોરીની જગ્યાએ બેઠેલો બીજો કોઈ ચડી નાં આવ્યો હોત તેની ગેરંટી હતી ખરી? અને એની સામે પૃથ્વીરાજની જગ્યાએ બેઠેલો એનો પુત્ર જીત્યો હોત તેની કોઈ ગેરંટી હતી ખરી? પૃથ્વીરાજ જીત્યો હોત પણ એની જગ્યાએ બેઠેલો એનો કોઈ વંશજ પાછળથી હાર્યો હોત તો આજે આપણે પૃથ્વીરાજને બદલે એના વંશજ ને ગાળો દેત.

આપણે તો ગાળ દેવા આજે કોઈ પાત્ર જ જોઈએ ને?

સિકંદર એકવાર નહિ અવારનવાર ચડી આવ્યો છે. પણ સમ્રાટ ચંદ્રગુપ્તના હાથીઓનું લશ્કર જોઈ ભાગવું પડતું હતું. ચંદ્રગુપ્તના યુદ્ધ કૌશલ આગળ એને પાછું ફરવું પડતું હતું.

જો ચંદ્રગુપ્ત હાર્યો હોત તો આજે આપણે ચંદ્રગુપ્તને ચોપડાવતા હોત. imagesCAI4GAG2

સિકંદર અને ચંદ્રગુપ્ત તો મહમ્મદ અને ઈસુના જન્મ પહેલાના. એક સમયે દુનિયાના તમામ રસ્તા રોમ તરફ જતા હતા. ઈજીપ્ત અને ઇઝરાયલ ઉપર પણ રોમનો રાજ કરતા હતા. ઈસુને ક્રોસ પર લટકાવનાર યહૂદી નહિ રોમન હતા. જોકે યહૂદીના કહેવાથી લટકાવેલા તે વાત જુદી છે. પાછળથી આજ રોમન રાજાઓએ જીસસને અપનાવ્યા અને આખા યુરોપમાં જીસસ જીસસ થઈ ગયું. રોમમાં રાજાઓ હતા તો સેનેટ પણ હતું, પ્રજાના પ્રતિનિધિઓ પણ રાજકાજમાં ભાગ લેતા. પણ જર્મેનિક ટ્રાઈબ ગણાતા બાર્બેરિયન ટોળા રોમ પર અવારનવાર હુમલા કરતા. Frankish Tribe બહુ જોરાવર હતી તેણે રોમના અન્ડરમાં રહેલા વેસ્ટર્ન યુરોપ પર કબજો જમાવ્યો અને કાલક્રમે એકવારના જંગલી બાર્બેરિયન આજે સુસંસ્કૃત કલાપ્રેમી ફ્રાન્સના ફ્રેંચ તરીકે ઓળખાય છે. Saxon આવી જ એક Germanic Tribe હતી તે પણ રોમનોની પત્તર ઝીંકતા હતા. તે ઇંગ્લૅન્ડ અને હોલૅન્ડ બાજુ વસી ગયા. લોમ્બાર્ડ ઇટાલીમાં રહી ગયા. Hun-Nomadic વોલ્ગા નદી બાજુથી તે યુરોપ સુધી અને છેક ભારત સુધી ઘોડા પર ધરતી ધમરોળતા. Yuezhi Tribe કહેવાતા કુશાન તો ભારતમાં આવી ભારતીય જ બની ગયેલા. એક સમયનું મહાન રોમન સામ્રાજ્ય આજે યુરોપના નાના દેશોરૂપી ટુકડાઓમાં વહેંચાઈ ગયું છે.

સાઉથઇસ્ટ યુરોપ, વેસ્ટર્ન એશિયા અને નૉર્થ આફ્રિકા સહિત પુરા બાવન લાખ ચોરસ કિલોમીટર ઉપર પૂરી છ સદીઓ રાજ કરતા ગ્રેટ Ottoman સામ્રાજ્યનાં સુલતાનો આગળ ભારતના મહાન મુઘલોના ચણામમરા એ નાં આવે. ભારતમાં મુસલમાનો પહેલા પણ જંગલી કહેવાતા ટોળા ચડી આવતા જ હતા. પણ તે સમયના સમ્રાટો રોકી રાખવા સફળ બની જતા. ગુપ્ત સમ્રાટોએ ૭૦૦ વર્ષ સીમાડા સાચવ્યા હતા. શક, હૂણ અને કુષાણ જેવા ટોળા પાસે પોતાની કોઈ ચોક્કસ ઘડેલી સંસ્કૃતિ કે વિચારધારા કે જીવન પદ્ધતિ કે ધર્મ નહિ હોય તે ભારતમાં આવવા સફળ થયા પછી અહીંની સંસ્કૃતિમાં એવા સમાઈ ગયા કે આજે ખબર જ નાં પડે. સિકંદર પાસે પણ કોઈ ધર્મ નહતો, જીસસ ત્યારે જન્મ્યા નહોતા.

પણ ત્યાર પછી ભારત પર હુમલા કરતા ટોળા પાસે મહંમદે આપેલી એક ચોક્કસ વિચારધારા હતી, સંસ્કૃતિ હતી, ધર્મ હતો. તેઓ આપણામાં ભળવા નહિ આપણને તેઓમાં ભળી જવા માટેના આદેશ લઈને આવતા હતા. ગઝની નાં આવ્યો હોત તો ઘોરી પાછળ આવવાનો જ હતો. ઘોરી નાં આવ્યો હોત તો પાછળ ખીલજી રેડી જ હતો. ખીલજી હાર્યો હોત તો પછી લોદી સાથે લડવાનું જ હતું. લોદી પછી મુઘલ તો તૈયાર જ હતો. ગ્રેટ ઓટોમન સામ્રાજ્યનું પ્રેરક બળ કોઈને ને કોઈને ભારત તરફ ધકેલ્યા જ કરવાનું હતું. મુઘલો પણ ત્રણસો વર્ષથી વધુ ક્યાં ટક્યા? તેની પાછળ જેનો સૂરજ કદી આથમે નહિ તે બ્રિટીશ સામ્રાજ્ય આવ્યું જ ને? શું મુઘલો પાસે યુદ્ધ કૌશલ્ય નહોતું? રમખાણો થાય ત્યારે ખાલી પોલીસની સાયરન વગાડતી જીપ આવે તો દોટ મૂકી ઘરમાં પેસી જતા બાહોશ જાણકાર પંડિત મિત્રો રાજપૂતોએ યુદ્ધ કૌશલ્ય ગુમાવ્યું એવું કહેતા હોય છે. તો શું બ્રીટીશરો પાસે ઓછું યુદ્ધ કૌશલ્ય હતું? કેમ ધીમે ધીમે એનો સૂરજ ફક્ત ઈંગ્લેન્ડ પૂરતો રહી ગયો?

મૂળ તો ઑથેન્ટિક બનાવવા ભગવાનના મુખે મુકાયેલ, ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણોનું સર્જન કર્યું છે; તેનો કર્તા હું છું છતાં મને તું અકર્તા અને અવિકારી જાણ ||૪.૧૩|| શ્લોકના સ્વાર્થ માટે સમાજના ઉપલા વર્ગ દ્વારા કરાયેલા ગલત અર્થ અને અમલ સાથે ભારતીય સમાજની બ્લ્યુ પ્રિન્ટ બગડવાની શરૂઆત થઈ ચૂકી હતી. સમાજનો ફક્ત ચોથો ભાગ એક જ વર્ગ લડવા જાય એટલે તે વર્ગ ધીમે ધીમે સંખ્યામાં ઓછો થવાનો. પહેલા ૧૦૦માંથી ચોથો ભાગ ૨૫ લડવા જતા હોય પણ કાલક્રમે ૧૦૦ માંથી લડે તેવા બેત્રણ જ બચ્યા હોય. ૫૦૦૦ વર્ષથી એક જ વર્ગ લડતો હતો બાકીના ઉભા ઉભા જોયા કરતા. શૂદ્રને તો સેવા જ કરવાની હતી. જે રાજ કરે તે અમારે તો બાકીના ત્રણ વર્ગના કચરા જ ઉઠાવવાનાં છે ને?

કોઈ પણ નવા પ્રયોગના સારા અને ખોટા પરિણામો હોય છે. પ્રૉબ્લેમ એ થયો કે દરેકને પોતપોતાનું કામ વહેંચી દીધું. એટલે એક બીજાનું કામ કોઈ કરવા તૈયાર જ ના થાય. ભાઈ તું ક્ષત્રિય લડવાનું કામ, રક્ષા કરવાનું કામ ફક્ત તારું અમારું નહિ. બ્રાહ્મણ કહેશે હું તો વિદ્યા આપું લડવાનું કામ મારું નહિ. વૈશ્ય કહેશે અમે તો વાણિયા સપનામાં પણ તલવાર જોઈ ના હોય. અમે તો કીડી મરી ના જાય એનું પણ ધ્યાન રાખીએ અમે શું લડવાના હતા. તમતમારે લડો, અહિંસા પરમ ધર્મ. હવે કાયમ લડી લડી ને કાયમ યુદ્ધોમાં જઈ જઈ ને ક્ષત્રિયો ઓછા થવાના. લડવામાં જીવ પણ ખોવા પડે. એ કઈ ખો ખો રમવાનું તો છે નહિ. વસ્તી ઘટતી ગઈ, એટલે છૂટ આપી વધારે સ્ત્રીઓ રાખો, એક સાથે વધારે સ્ત્રીઓ સાથે લગ્ન કરો અને વસ્તી વધારો, પણ અમે તો યુદ્ધમાં ના જઈએ. દરેકની લીમીટ હોય. એક બાળક પેદા કરતા વર્ષ નીકળી જાય અને મોટું કરી યુદ્ધમાં જવા તૈયાર કરતા ૨૦ વરસ નીકળી જાય એટલામાં તો હજારો કપાઈ માર્યા હોય. પછી દસ બૈરાં રાખો તો પણ કઈ રીતે પહોચી શકાય.

બીજું વર્ણ વ્યવસ્થા ને લીધે કોઈ પણ બે વર્ણો વચ્ચે લોહીના સંબંધ જ ના રહ્યા, એના લીધે લાગણીજ ના રહી. અને એને લીધે કોઈ સંપ પણ ના રહ્યો. હવે આ રજપૂતો બહાદુર ખુબજ હતા પણ સંખ્યા ઓછી પડતી. એટલે જ્યારે લાગે કે હવે હારવાના જ છીએ તો ભાગતા નહિ. છુપાતા નહિ. પણ કેસરિયા કરતા. મતલબ કે દુશ્મનના સૈન્યમાં મરવા માટે કૂદી પડતા. એક તો હોય સંખ્યામાં બિલકુલ ઓછા, બધા કપાઈ મરતા, કેસરિયા એટલે સુસાઈડ, સામૂહિક આપઘાત જ કહેવાય. આ કોઈ જેવી તેવી બહાદુરી ના હતી. અને આ બાજુ એમની સ્ત્રીઓ એક મોટા કૂવામાં આગ પેટાવી એક પછી એક કૂદી પડતી, આને સામૂહિક સુસાઈડ કહેવાય. હવે સ્ત્રીઓ પણ ઓછી થતી જાય અને પુરુષો પણ, અને બીજા કોઈ લડવા નીકળે નહિ. એટલે હિંદુ ધર્મે રાજપૂતો ને મોટા ભા તો બનાવ્યા સાથે સાથે કપાઈ મરવાનો પરવાનો, દસ્તાવેજ પણ લખી આપ્યો. અને બીજા વર્ણના લોકોને લાગણી પણ ન થાય મરો  એ જ તો તમારું કામ છે. કેમ કે લોહીનો કોઈ સંબંધ જ ના હોય એટલે કોણ રડે? અતિશય સંખ્યા આગળ બહાદુરી કોઈ કામ ના લાગે.

આજે સવાલ થાય છે કે ગઝની આવ્યો ત્યારે ભીમદેવ કેમ લડ્યો નહિ ને કચ્છમાં ભાગી ગયો? પણ સંખ્યામાં ગઝની કરતા એટલો ઓછો હતો કે બધા મરવાનાં જ હતા. હમીરજી ગઝની સામે લડવા ગયા ત્યારે ૩૦૦-૪૦૦ રાજપૂતોને લઈને ગયેલા. બધા સાફ થઈ ગયા. આપણે એમની બહાદુરીના ગુણગાન ગાઈએ છીએ પણ એમનો વંશ તો ખલાસ થઈ ગયો. સામે ભીમદેવે ભાગી જઈ વંશ બચાવી ફરી રાજ કર્યું ને કર્ણદેવ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા રાજાઓ પણ આપ્યા. શાક સમારતા ચપ્પુ વાગી જાય તો રાડારાડ કરી નાખતી અને ડૉક્ટર ઇન્જેક્શન આપે તો આડું જોતી અને કોઈને લોહી નીકળે તો જોઇને ચક્કર ખાઈ પડી જતી પ્રજા આજે દુશ્મનોના માથા વધેરતા ઊડતી લોહીની પિચકારીઓ વડે રંગાઈ જતા રજપૂતો વિષે ખણખોદ કરતી જોઇને હસવું આવે છે. અંગ્રેજો આવ્યા પછી રજપૂતો ને લડવાનું રહ્યું નહિ, એટલે એશોઆરામમાં પડી ગયા એ વાત જુદી છે.

હું નાનો હતો ઈડર બાજુ અમારા સગાઓને ત્યાં જતો ત્યાં આખા ગામમાં રાજપૂતોના બેચાર ઘર જ હોય બાકી આખુ ગામ ઇતર કોમથી ભરેલું હોય. આઝાદી પછી ગણો કે અંગ્રેજો આવ્યા પછી ગણો રાજપૂતોની વસ્તી ધીમે ધીમે વધી હશે છતાં આજે પણ તમારે માર્ક કરવું હોય તો કરજો કોઈ પણ ગામમાં બીજી બધી કોમ કરતા સંખ્યામાં રાજપૂતોની વસ્તી ઓછી જ હશે.

ચતુર્વર્ણ મયા સૃષ્ટમનાં ગલત અર્થ અને અમલ જેવા બીજા અનેક એવા મૂલ્યો હતા જેણે ભારતીય સમાજની આખેઆખી બ્લ્યુ પ્રિન્ટ બગાડવાનું કામ કરેલું છે તેના પરિણામે આક્રમણકારો આવ્યા ને મહાન ભારત એક દસ હજાર વર્ષ જૂની સંસ્કૃતિ ધ્વસ્ત થઈ ગઈ, ઘૂંટણે પડી ગઈ. એક થાળીમાં ખાનારા સામે જુદી જુદી થાળીઓમાં ખાનારા હારી ગયા.

યાવતચંદ્રદિવાકરો રાજ કોઈના તપ્યા નથી તપવાના પણ નથી. આર્યન હોય, પર્સિયન હોય કે રોમન, ઓટોમન હોય કે બ્રિટન, એક દિવસ સૂરજ આથમવાનો જ છે અને ક્યાંક બીજે ઊગવાનો પણ એટલો જ છે.

પૃથ્વીરાજ હાર્યો નાં હોત તો એની પછી આવેલો બીજો કોઈ હાર્યો હોત.

સંઘર્ષ (કૉન્ફ્લિક્ટ) ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ

untitledસંઘર્ષ (કૉન્ફ્લિક્ટ) ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ

સમાજનો બહુ મોટો વર્ગ હમેશાં કૉન્ફ્લિક્ટ થી દૂર રહેતો હોય છે. સંઘર્ષ ટાળતો હોય છે. અથડામણમાં પડવું નાં પડે તેના ઉપાય કર્યા કરતો હોય છે. થોડા દિવસ પર ગુજરાતમાં તેમાં પણ અમદાવાદ જ હશે, કોઈ મૅનેજમેન્ટ સંસ્થાના ઉપક્રમે કૉન્ફ્લિક્ટ વિષે ચિંતન શિબિર ચાલતી હતી, તેમાં જુદાજુદા ક્ષેત્રના વક્તાઓ બોલવા આવતા હતા. તેમાં કોઈ સાધુ કે ગુરુ પણ આવેલા. બધે સાધુઓ શું કામ બોલાવતા હશે મને સમજાતું નથી. પણ તે મહારાજ ઉપજાવી કાઢેલો દાખલો આપતા હતા, કે એક કપલ ટ્રેનમાં બેઠેલું, કોઈ સ્ટેશન આવતા ચા પીવા ઊતર્યું હશે, ટ્રેન ઊપડી પેલાં ભાઈ ચડી ગયા અને એની વાઈફ નીચે રહી ગઈ. મહારાજે કટાક્ષ માર્યો મૅનેજમેન્ટ ભણેલા શ્રોતાઓ આગળ કે આ ભાઈએ રામાયણ વાંચી હોત તો આવું નાં થાત. મને ખૂબ હસવું આવ્યું આ વાત ‘સંદેશ’માં વાંચીને. હું ત્યાં હાજર હોત તો બાવાજીને કહેત કે આણે રામાયણ વાંચી હશે કે સાંભળી હશે માટે આવું થયું હશે. રામે સીતાજીને વગર વાંકે છોડી જ દીધેલા ને? બીજા કોઈ બહેનજીએ ભાષણ એમાં આપેલું કે ગીતામાં એનો ઉપાય છે. આખું મહાભારત કૉન્ફ્લિક્ટ ઉપર તો રચાયું છે. બે ભાઈઓના વંશજો વચ્ચે બહુ મોટો સંઘર્ષ હતો.. કૃષ્ણે શક્ય પ્રયાસ કૉન્ફ્લિક્ટ ટાળવા કર્યા. પણ તે સર્વાઈવલનાં ભોગે નહિ.. સર્વાઈવલ બે રીતે થાય છે. એક તો કૉન્ફ્લિક્ટ સ્વીકારી એનો પડકાર ઝીલીને, અને બીજો શરણે થઈ કૉન્ફ્લિક્ટ ટાળવો. અર્જુન તો હથિયાર હેઠાં મૂકી કૉન્ફ્લિક્ટ ટાળવા તૈયાર હતો. ત્યારે કૃષ્ણે ઊલટો અથડામણ માટે એને તૈયાર કર્યો. શરણે થઈ જીવવું તે પણ અર્જુન જેવા જન્મજાત લડવૈયા માટે મૃત્યુથી બદતર બની જાત. એ જિના ભી કોઈ જિના હૈ લલ્લુ?  ટેમ્પરરી ભાંગી પડેલા અર્જુન પાસે કૉન્ફ્લિક્ટ સ્વીકારવા અને એનો સામનો કરવા તૈયાર કર્યો તેનું નામ ગીતા.

રામે પણ રાવણ જેવા બાહુબલિ નેતા આગળ સંઘર્ષ ટાળ્યો નથી..એનો સામનો કર્યો છે, સંઘર્ષમાં ઊતર્યા છે અને જીત્યા છે. પણ સમાજનો મોટો વર્ગ હમેશાં કૉન્ફ્લિક્ટ ટાળવાની કોશિશ કરતો હોય છે. કારણ આપણા પૂર્વજો બને ત્યાં સુધી અથડામણ ટાળતા. આપણા પૂર્વજોના જીવન સહેલા નહોતા. એલ્ફા ચિમ્પૅન્ઝી એના વિરુદ્ધ કોઈ જાય તો બરોબર ઝૂડી નાખતો હોય છે. ચિમ્પૅન્ઝીનાં ગ્રૂપમાં લગભગ દરેક સભ્યે કોઈને કોઈ અંગ ગુમાવેલું હોય છે. સંઘર્ષ વગર ખોરાક મળતો નહિ, કે અથડામણ કર્યા વગર ફીમેલ મળતી નહિ. ચાલો એક સમયે ખોરાક તો મળી જાય imagesCADFYXMMપણ બીજા સાથે સંઘર્ષ વગર ફીમેલ તો મળતી જ નહિ. પણ સંઘર્ષ કરવામાં જીવ ગુમાવવો પડે તો સૌથી વધુ નુકશાન. એટલે મૅમલ બ્રેન જાણતું જ હોય છે કે ક્યારે સંઘર્ષ કરવો અને ક્યારે અથડામણ ટાળવી. મૅમલ બ્રેન સતત પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યા જ કરતું હોય છે કે ક્યારે લડવું અને ક્યારે શરણે થવું. બે મૅમલ ભેગાં થાય એટલે કમ્પેરીજન શરુ. પછી તે માનવી હોય કે બીજા એનિમલ. ધાર્મિક ચમ્પુઓને બોલાવી આશરે ૨૦૦ મિલ્યન વર્ષથી વિકસેલી અદ્ભુત લિમ્બિક સિસ્ટમ(મૅમલ બ્રેન)ને તમે આજે કૉન્ફ્લિક્ટ વિષે શિખામણ આપો હસવા જેવું છે ને? અને આ જ્યાં ને ત્યાં પગે લાગી ઉભા રહી જતા લોકો તમને એવું જ શીખવશે, કે કોઈપણ હિસાબે કૉન્ફ્લિક્ટ ટાળો, સહન કરો, આપણી તે સંસ્કૃતિ છે.

કૃષ્ણને ખબર હતી કે છેવટે પાંચ ગામ આપે તો ખાવાની સગવડ તો થઈ જશે અને પાંચ ગામના ધણી તરીકે માન પણ જળવાઈ જશે, આત્માનું હનન નહિ થાય. એટલે કૉન્ફ્લિક્ટ ટાળવા છેવટે પાંચ ગામ માંગ્યા પણ દુર્યોધન તસુભાર જમીન આપવા તૈયાર થયો નહિ તો પછી હે ! પાર્થ ઊભો થા ચડાવ બાણ અને સંઘર્ષનો સ્વીકાર કર. અને અર્જુન સામે સગાવહાલા જોઈ કેમ કંપી ગયો? કેમ ગાત્રો ગળી ગયા? સિદંતી મમ ગાત્રાણી..કેમ ગાંડીવ સરી પડ્યું? સામે સગાઓ નાં હોત તો ઝાલ્યો નાં રહેત જેમ હું ધાર્મિક કે સામાજિક પાખંડો સામે ઝાલ્યો નથી રહી શકતો. સામે બીજા હોત કે બીજા કોઈ દેશના દુશ્મનો હોત કે સગાઓ નાં હોત તો અર્જુન ક્યારનો ધડબડાટી બોલાવતો હોત. તો ગીતા રચાઈ પણ નાં હોત. મૂળ વાત એ છે કે Gene Pool જીનપુલમાં પોતાના Genes ની બહુમતી હોય, પોતાના વંશ કે genes સૌથી વધુ હોય તે દરેક પ્રાણી ઇચ્છતું હોય છે. આ પણ સર્વાઈવલનો એક ઉપાય છે. ભલે મારા ખુદના અંગત gene આગળ વધ્યા નાં હોય પણ મારા ભાઈના gene મારા જ gene કહેવાય. એટલે સામે સગા ભાઈઓ કે પિતરાઈ ભાઈઓ હોય તેમાં આપણા જ genes હોય છે તેમનો નાશ કરવો અઘરો લાગે. એટલે સામે સગાઓ જોઈ અર્જુન ઢીલો પડી ગયો. છતાં જીવન હમેશાં વિરોધાભાસ વડે ઘેરાયેલું હોય છે. ક્યારેક વ્યકિગત genes માટે વ્યક્તિગત સ્વાર્થ માટે બીજાનાં બલિદાન લેવાતા હોય છે તેમ સમૂહના સ્વાર્થ માટે કે ભલા માટે, સમૂહના genes માટે વ્યક્તિઓ ખુદના બલિદાન આપતા પણ હોય છે. પણ કૃષ્ણ જાણતા હતા કે ક્યારે સંઘર્ષ ટાળવો અને ક્યારે સ્વીકારી લડી લેવું. એટલે હું કાયમ કહેતો હોઉં છું કે કૃષ્ણ મારે મન કોઈ ભગવાન નહિ પણ સર્વાઈવલનાં યુદ્ધના મહાયોદ્ધા છે.

ક્યારેક હકારાત્મકતા ને બહાને કૉન્ફ્લિક્ટ ટાળવામાં આવતો હોય છે. સંઘર્ષ કરવામાં નકારાત્મકતા દેખાતી હોય છે. સામાજિક કે ધાર્મિક બદીઓ સામે તમે આંગળી ચીંધો તો અમુક વર્ગ તરત કહેવાનો કે સારું સારું જુઓ. ખરાબ સામે નાં જુઓ. હકારાત્મક બનો, પોજીટીવ બનો. સારી બાજુઓ ઘણી છે તેને ઉજાગર કરો. અરે ભાઈ બદીઓ સામે જોઈશું જ નહિ તો એને દૂર ક્યારે કરીશું? ગંદકી ગંદકી છે તેવી જાણ પણ હોવી જોઈ ને? આપણે એવી કેટલીય સામાજિક ગન્દકીઓને સંસ્કૃતિ કહીને પાળી રાખી છે. જે તે સમયે સામાજિક રિવાજો ભલે યોગ્ય લાગતા હોય આજે નાં પણ હોય. તેને બદલવા પડે કે નહિ? સામાજિક અને ધાર્મિક ઍલ્ફાઓએ એમના સ્વાર્થ માટે સમૂહના સ્વાર્થ જોખમમાં મૂકીને એવી કેટલીય સામાજિક અને ધાર્મિક ગંદકીઓને ધર્મ, પરમ્પરા અને સંસ્કૃતિમાં ખપાવી દીધી છે. હવે એના સામે કોઈ આંગળી ચીંધે તો નકારાત્મક વિચારો ધરાવે છે કહી રોકવામાં આવે છે. હવે જે સારું છે તે સારું જ રહેવાનું છે. એ કાઈ ખોટું થઈ જવાનું નથી. જરૂર છે ગંદું છે તેને ઉજાગર કરી સાફ કરવાની. હવે એમાં પછી કામ કરવામાં માનું છું તેવી દલીલ આવે છે. આંગળી નાં ચીંધો કામ કરો. હવે હું કે તમે દરેકના ઘર સાફ કરવા તો જવાના નથી. પણ ઘર સાફ કરી શકાય છે તેવો એક વિચાર તો મૂકી શકું છું. આતો જસ્ટ દાખલો આપું છું. એક તો પહેલું ઘર ગંદું છે તે જ ખબર હોતી નથી. અને ખબર પડે તો તેને સાફ કરી શકાય તે પણ ખબર હોતી નથી. ગંદું રાખવાની પરમ્પરા તોડી શકાય તેવી હિંમત પણ હોતી નથી.

કાર્લ માર્ક્સ શું ઘેર ઘેર ફરેલો સામ્યવાદ સમજાવવા કે અમલ કરાવવા? એક પુસ્તક રૂપે વિચાર મૂક્યો જેને સામ્યવાદ ગમતો હોય તે અમલ કરે. ગંદકી ગંદકી છે આ કોઈ પવિત્ર પ્રસાદ નથી તેવું કહેવાની હિંમત કરનાર, આંગળી ચીંધનાર આજે ભલે તમને નકારાત્મક લાગતો હોય સૌથી મોટું હકારાત્મક કામ તે જ કરી રહ્યો છે. ગંદકી આપણને સદીઓથી સદી ગઈ છે માટે ચોખ્ખાઈ રાખવામાં સ્વતંત્રતા હણાઈ જતી હોય તેવું લાગે છે, ગંદકી કરવાની સ્વતંત્રતા.. થૂંકવા માટે બે ડગલા ચાલી વોશબેસીન સુધી જવામાં જોર તો પડે જ ને? જાહેરમાં નાક ખંખેરવાની સ્વતંત્રતા કોઈ હણી લે તે ચાલે ખરું? અને જાહેરમાં નાક ખોતરવાની પરમ્પરા તો આપણી સંસ્કૃતિ છે તેના પર કોઈ તરાપ મારે તો નકારાત્મક અભિગમ કહેવાય કે નહિ? ડૉક્ટર ક્યાં નસ્તર મૂકશે? જ્યાં ગૂમડું હોય ત્યાં. ત્યારે એવું કહેવાના કે મારા પગે ગૂમડું છે તે નાં જુઓ, હકારાત્મક બનો મારા શરીરની સારી બાજુ જુઓ મારા બાવડા જુઓ કેટલા સરસ ફૂલેલા છે?

imagesCA1E1ID9મૂળ વાત વિવાદમાં પડવું નથી. વિવાદમાં પડવામાં જોખમ છે. ધર્મ અને સંસ્કૃતિના બની બેઠેલા રખેવાળો કાગારોળ કરવા માંડે છે. ગાળો ખાવી પડે છે. સર્વાઈવલ માટે થ્રેટ અનુભવાય છે. સામાજિક અસ્વીકારનું જોખમ ઊભું થઈ જાય છે. સામાજિક અસ્વીકાર એટલે ટોળાની બહાર નીકળી ભૂલું પડેલું ઘેટું બ્રેનમાંથી કૉર્ટીસોલ સ્ત્રાવ થતા બેં બેં કરવા માંડે તેવું સમજવું. ઍલ્ફાની નજરમાંથી ઊતરી જવામાં બહુ મોટું થ્રેટ અનુભવાય છે. બસ આ સામાજિક થ્રેટની બીકમાં વર્ષો સુધી લોકો સહન કરે જતા હોય છે. ખબર હોય છે ખોટું થઈ રહ્યું છે પણ સામાજિક રીતે એકલાં પડી જવાનો ડર એમને વર્ષો સીધું ચૂપ રાખવામાં કામયાબ બની જતો હોય છે. પછી જ્યારે લાગે કે હવે ઍલ્ફા નબળો પડ્યો છે હવે એના વિરુદ્ધ બોલીશું તો વાંધો નહિ આવે ત્યારે બોલવાની હિંમત આવે છે. એમાં દસ વર્ષ બળાત્કાર સહન કરતા નીકળી ગયા હોય. ત્યારે આપણને એના પર શંકા જાય કે અત્યાર સુધી કેમ નાં બોલી? ક્યાંથી બોલે? તમે ખુદ એ જગ્યાએ હોવ તો બોલો ખરા? એક બોલે પછી જેણે જેણે સહન કર્યું હશે તેઓનામાં થોડી હિંમત આવશે તે એક પછી એક બહાર આવશે.

સર્વાઈવલ માટે સંઘર્ષ કરતું મૅમલ સર્વાઈવલનાં જોખમે કદી સંઘર્ષમાં ઊતરે નહિ.

પવિત્ર લગ્નવ્યવસ્થા ડામાડોળ

134392-134202પવિત્ર લગ્નવ્યવસ્થા ડામાડોળ

જગતમાંથી પવિત્ર ગણાતી લગ્નવ્યવસ્થા હવે ડામાડોળ થઈ ચૂકી છે. યુરોપમાં હવે લુપ્તપ્રાય સંસ્થામાં એનો સમાવેશ થઈ ગયો છે. અમેરિકામાં હજુ એની સ્થિતિસ્થાપકતા જાળવી રાખી છે. છતાં ભારત જેટલી મજબૂત અમેરિકામાં રહી નથી. પણ યુરોપ કરતા એની સ્થિતિ અહીં થોડી સારી છે અને તે પણ મિડલ ક્લાસ પૂરતી. ૧૯૨૦મા અમેરિકામાં કોઈ એપાર્ટમેન્ટ કે ઘર આસપાસ કોઈ એકલાં યુવાન કે યુવતી રહેતા જોવા મળે તો લોકો ભયભીત થઈ જતા. પણ ૧૯૬૦મા તો બાળક ધરાવતી એકલી યુવતીઓ મોટા પ્રમાણમાં જોવા મળવાનું શરુ થઈ ચૂક્યું હતું. Senator Daniel Patrick Moynihan જેવા કહેવા લાગ્યા કે આ સિંગલ પેઅરન્ટહૂડને લીધે ડ્રગ અડિક્શન અને ક્રાઇમ વધી ગયા છે. કાર્યકારણ અને પારસ્પરિક સંબંધમાં ફેર હોય છે. સિંગલ મધરના બાળકો બીજા કરતા વધારે ક્રાઈમમાં સંડોવાયેલા હોય છે તેનું કારણ સિંગલ પેઅરન્ટહૂડ નહિ પણ સિંગલ પેઅરન્ટહૂડનાં લીધે મળતી ગરીબી હોય છે. સ્વીડન જેવા દેશમાં ચાઈલ્ડ પૉવર્ટી ખતમ થઈ છે ત્યાં સિંગલ પેઅરન્ટહૂડ અને ક્રાઇમ વચ્ચેનું અસોસિએશન પણ ખતમ થઈ ગયું છે.

લગ્ન કર્યા વગર કે ડિવોર્સ લઈને એકલાં બાળકો ઉછેરવાનું વધતું જાય છે તેનું મહત્વનું કારણ સ્ત્રી હવે કમાતી થઈ છે. ડિવોર્સ લઈ લેવાનું પણ મહત્વનું કારણ સ્ત્રી કમાતી થઈ છે તો સહન શું કામ કરે તે પણ છે. કમાતી હોય અને બાળકો એકલાં ઉછેરી શકવા સક્ષમ હોય તો લગ્ન કરવા જરૂરી રહે નહિ. યુરોપમાં બાળક ધરાવતી સિંગલ મધરનો રેશિયો ૧૯૯૦ અને ૨૦૧૦ વચ્ચે ડબલ કરતા વધુ(૧૭.૪ થી ૩૮.૩) થઈ ચૂક્યો હતો. યુએસમાં આ રેશિયો ૧૯૬૦ અને ૨૦૦૯ વચ્ચે ૫.૩ ટકાથી ૪૧ ટકા સુધી વધી ચૂક્યો હતો.

ધાર્મિક રૂઢીચુસ્તોને બાજુએ રાખીએ તો એક શ્રીમંત ચુનંદો વર્ગ એવો હોય છે જેના માટે લગ્ન એકલાં બાળકો પેદા કરવા માટે મહત્વનાં નથી પણ સાથે સાથે બાળકો માટે ભવ્ય શ્રીમંત વારસો ઊભો કરવાનો હેતુ પણ હોય છે. બે શ્રીમંત કુટુંબનાં સ્ત્રીપુરુષ લગ્ન વડે જોડાઈ જશે. લગ્નમાં ખૂબ ખર્ચો કરી એમની શ્રીમંતાઈનું પ્રદર્શન કરશે. આમ કરી સમાજમાં એમનું સ્ટેટ્સ ઊંચું છે તે જતાવશે. એમના બાળકો મોઢામાં સોનાના ચમચા લઈને જન્મશે..

સ્વીડન જેવા જ્યાં સમાનતા વધુ છે તેવી લોકશાહીમાં લગ્નની ચિંતા કર્યા વગર યુવાન યુવતીઓ ભેગાં રહેવા માંડતા હોય છે. જેટલી સાદાઈ અને સહજતાથી ભેગાં રહેતા થયા હોય તેટલી સાદાઈ અને સહજતાથી છૂટાં પણ પડી જતા હોય છે. અને એમનાં બાળકો સરકારની ઉદાર ચાઈલ્ડ સપોર્ટ આપવાની નીતિને કારણે મોટા થઈ પણ જતા હોય છે. એના લીધે ત્યાં બાળગરીબી કે બાળમજૂરી દૂરની વાત છે.

યુરોપની સરખામણીએ યુ.એસ.માં child poverty રેટ ઉંચો છે. એટલે મિડલ ક્લાસ લોકો માટે લગ્ન કરી જોડાયેલા રહી બાળકો ઉછેરવાનું મહત્વનું છે. મિડલ ક્લાસ નેબરહૂડમાં રહીને બાળકોને સારી સ્કૂલમાં ભણાવી શકાય. આમ યુરોપ કરતાં લગ્ન અહીં થોડું વધારે માન મેળવી જાય છે. આમ યુરોપમાં તો લગ્નસંસ્થા લગભગ તૂટી ચૂકી છે. અમેરિકામાં પણ મોટાભાગના લોકો લગ્ન કર્યા વગર જ સાથે રહેતા હોય છે. છતાં યુરોપ કરતા અહીં વધુ લોકો લગ્ન કરીને સાથે રહેતા હોય છે.

એક તો લગ્ન કરવાની આદર્શ ઉંમરમાં પાંચ થી દસ વર્ષનો વધારો થઈ ગયો છે. ધારોકે પહેલા ૨૫ વર્ષે લગ્ન કરતા તો હવે ત્રીસ વર્ષે કરતા થઈ ગયા છે. હવે તો ત્રીસ વર્ષે પણ લગ્ન કરવા વહેલું ગણતા હોય છે. ભારતમાં પણ લગભગ આવું જ થતું હોય છે. હું નાનો હતો ત્યારે છોકરાને ૨૦-૨૨ વર્ષે તો પરણાવી દેવામાં આવતો. પછી એડ્યુકેશનનું મહત્વ વધ્યું તો ૨૫ વર્ષ લગ્ન કરવાની આદર્શ ઉંમર મનાતી. છોકરીઓ માટે તો ૨૦ વર્ષ બહુ થઈ ગયા તેવું કહેવાતું. હવે એમાં પણ વધારો થયો જ છે. વર્લ્ડવાઈડ સ્ત્રીઓની લગ્ન કરવાની ઉંમર ૧૯૭૦ અને ૨૦૦૫ સુધીમાં ૨૩ થી ૨૯ થઈ ગઈ છે. આમ સ્ત્રીઓ ભણવા, કમાવા અને કેરિયર પ્રત્યે વધુ ધ્યાન આપતી થઈ છે. આમ સ્ત્રીઓ પણ લગ્ન મોડા કરતી હોય છે ડિવોર્સ ઝડપથી લેતી જોવા મળી છે.

લાંબા લગ્નજીવન ભવિષ્યમાં ઇતિહાસ બની જવાના. યુએસમાં પણ લાંબા સહજીવન ગાળતા હોય તેવા વૃદ્ધ જોડલા હજુ જોવા મળે છે. મૂળ અમેરિકા પચરંગી દેશ છે એટલે જે તે દેશનું કલ્ચર, પરમ્પરા રીતરિવાજ અને માન્યતાઓ ભાગ ભજવતી હોય એમાં કોઈ શક નહિ. સ્વાભાવિક છે કે મૂળ અમેરિકનો કરતા મૂળ ભારતીયોમાં ડિવોર્સનું પ્રમાણ ઓછું જ હોય. એમાં વર્ષો પહેલા આવેલા ભારતીયોના લગ્નજીવન લાંબા હોય તે પણ સ્વાભાવિક છે.

આખી જીંદગી એક જ પાત્ર સાથે જોડાયેલા રહીને લાંબું લગ્નજીવન માણવું બહુ જૂની વાત નથી. સારસ કે હંસ ભલે એક પાત્ર સાથે જોડી બનાવે માનવ એ ખાસિયત માટે બનેલો નથી તે હકીકત છે. ઍન્થ્રપલૉજિકલ રિસર્ચ પ્રમાણે હન્ટર-ગેધરર સમાજોમાં એક જ પાત્ર સાથે સહજીવન કાયમી નહોતા. આપણે ગમેતેટલાં હવામાં ઊડીએ અને મહાનતાની વાતો કરીએ ૧૦ થી ૧૫ હજાર વર્ષ પહેલા દુનિયાના બધા સમાજો હન્ટર-ગેધરર જ હતા. હું એક લગભગ અનાવૃત ફરતા આદિવાસી સમાજની ડોક્યુમેન્ટરી જોતો હતો. તેમાં દર બે વર્ષે પાત્ર વિધિવત્ બદલાઈ જતું. તે સમાજમાં રિવાજ જ એવો હતો.  સ્ત્રીએ બે વર્ષ થાય એટલે તત્કાલીન પુરુષ સાથી છોડી એકાદબે મહિના એકાંતમાં એક ઝૂંપડીમાં રહેવાનું પછી બીજા પુરુષ સાથે સામાન્ય વિધિવિધાન કરીને નવેસરથી રહેવાનું. સમાજ બહુ નાનો અને લુપ્તપ્રાય થતો જતો હતો. એટલે દર બે વર્ષે પતિપત્ની બદલાઈ જાય અને સમાજ સંખ્યામાં બહુ નાનો એટલે ગૃપના દરેક પુખ્ત પુરુષને ગૃપની દરેક પુખ્ત સ્ત્રી સાથે રહેવા મળી જતું. એમાં ગૃપના વૃદ્ધ પુરુષને બે વર્ષ યુવાન સ્ત્રી સાથે રહેવાનો ચાન્સ પણ મળી જાય. રોટેશન ચાલ્યા કરે. કોઈને મનદુઃખ થાય નહિ કે ભાઈ ભવિષ્યમાં જે તે સ્ત્રી સાથે કે પુરુષ સાથે બે વર્ષ ગાળવા મળવાના જ છે. અને બાળકો? બાળકો આખા સમાજના ગણાતા. બાળકોને ઉછેરવાની જવાબદારી આખા સમાજની. ખરો સામ્યવાદ કે સમાજવાદ મને અહીં દેખાણો.

લાંબા લગ્નજીવનની શરૂઆત ખેતીની શરૂઆત સાથે થઈ. લોકો જમીન માલિક બનવા લાગ્યા અને જમીનની માલિકી ભવિષ્યના ખોરાકની ગેરંટી બનવા લાગી. બધા ખેતર સરખાં હોય નહિ. કેટલાક ખેતરો વધુ ફળદ્રુપ હોય અને મોટા પણ હોઈ શકે તો અમુક ખેતરો નાના અને ઓછા ફળદ્રુપ પણ હોઈ શકે. માબાપ એમની દીકરીઓને સારા ખેતરો  સારી મિલકત હોય ત્યાં મોકલવા હરીફાઈ કરે તે સ્વાભાવિક છે. એના માટે ચૂકવવી પડતી કિંમત દીકરી લગ્ન કરીને સાથે લઈ જાય વિવિધ સ્વરૂપે, એમાં રોકડ હોય, દરદાગીના હોય અને વસ્તુઓ પણ હોય એનું રૂપાળું નામ એટલે દહેજ અને કરિયાવર. સમૃદ્ધ માબાપ સમૃદ્ધ કરિયાવર આપી સામે સમૃદ્ધ કુટુંબ સાથે ભાગ્યેજ તોડી શકાય તેવો સંબંધ બાંધી લેતા. સ્યૂટકેસ ભરીને સોનું લાવી હોય તે ગમેતેવી હોય તેની સાથે મરણપર્યાંત રહેવું જ પડે ને? અથવા ઢગલો પૈસા ખરચી વહુ લાવ્યા હોય તેને પણ કઈ રીતે છોડી શકો? બીજા ઢગલો રૂપિયા લાવવા ક્યાંથી? લગ્નવિચ્છેદ સ્ત્રી અને એના બાળકોને ઘર વગરના અને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દેતા હોય છે. માટે ખેતી પ્રધાન દેશોમાં ડિવોર્સનું પ્રમાણ ઝીરો હોય તેમાં કોઈ નવી વાત નથી. ખાસ તો સ્ત્રી જ્યારે અંગત રીતે કમાતી જ નાં હોય ત્યાં ડિવોર્સ લેવાનું વિચારી જ ના શકે. માબાપ પણ શિખામણ આપતા કે મરી જાય તો પણ ઘરનો ઉંબરો ઓળંગતી નહિ. કારણ ઘરનો ઉંબરો ઓળંગ્યા પછીની હાલત મૃત્યુથી પણ બદતર બનવાની છે. લાંબું લગ્નજીવન એટલે સુખી લગ્નજીવન સમજી લેવું નહિ. આવા લાંબા લગ્નજીવન સમાજે બાંધી આપેલી પ્રતિબદ્ધ જેલ સિવાય બીજું કશું હોતું નથી.

હન્ટર-ગેધરર સમાજોમાં વારસામાં આપવા માટે કોઈ માલમિલકત હોતી નથી ત્યાં લગ્ન બહુ સહેલાઈથી વિલીન થઈ જતા હોય છે. લગ્ન સાથે જોડાણ એક બાળક મોટું કરવા પૂરતું હોય છે. આધુનિક લગ્નો પણ લગભગ આશરે સાતેક વર્ષમાં ડિવોર્સમાં પરીણમતા જોવા મળે છે કે બાળક લગભગ મોટું થઈ ગયું છે. પક્ષીઓમાં બ્રિડીંગ સિઝન પૂરતું બોન્ડીંગ જોવા મળતું હોય છે. તેમ ઘણા બધા બાળકો ધરાવતા ફૅમિલીમાં અવતરતું દરેક નવું બાળક બ્રિડીંગ સિઝન બની કપલને હજુ વધુ સાથે રહેવા પ્રેરતું હોય તેમ બને. અને દરેક બાળકને મોટું કરવાની જવાબદારી પણ વધુ વર્ષો સાથે રહેવાની જરૂરિયાત ઊભી કરી જતી હોય છે. એટલે નાના બાળકો ધરાવતા માબાપ કરતા પુખ્ત બાળકો ધરાવતા માબાપ એકબીજા પ્રત્યે વધુ ફરિયાદ કરતા અને દુખી જોવા મળતા હોય તેવું પણ બનતું હોય છે. બાળક વગરના કપલ છૂટાં પડી જવાની શક્યતા વધુ હોય છે. જ્યારે ચારપાંચ બાળક ધરાવતા કપલ ભાગ્યેજ છૂટાં પડે. બાળકો પ્રત્યેની જવાબદારી કપલ વચ્ચે સ્ટીલ જેવું બોન્ડીંગ કરી શકે છે. પુરુષપ્રધાન સમાજમાં છોકરી કરતા છોકરો જન્મે તો વધુ સારું ગણાતું હોય છે. વધુ પડતી છોકરીઓ જન્મે તો લગ્નજીવન ભંગાણને આરે આવી જાય તેમ પણ બને.

જ્યાં બાળકો પેદા કરવા પ્રત્યે છોછ કે મનાઈ નથી કે નવા બાળકો પેદા કરે રાખવા સહજ છે ત્યાં લગ્નો સલામત છે. આધુનિક જમાનામાં આધુનિક કપલ ઓશિયાળા મલ્ટીપલ યંગ ચિલ્ડ્રન નામના ગુંદર વગર જીવતા હોય છે. આમ  low-fertility અને કમાતી સ્ત્રી લાંબા સહજીવન માટે ખતરો ઊભો થઈ જાય તેમાં નવાઈ નહિ.

ટૂંકમાં, lifelong marriage is assured for women who marry a subsistence farmer, fill the house with male children, and stay out of the paid work force.

કંઠી v/s ટાઈ

untitled-=-કંઠી v/s ટાઈ

આપણે કોઈ સંપ્રદાયમાં જોડાઈએ એટલે તેના વડા આપણને કંઠી પહેરાવતા હોય છે. કંઠી તુલસીના મણકાની માળા હોય છે. કંઠીની જગ્યાએ બીજું કશું પણ સિમ્બૉલિક હોઈ શકે. વૈષ્ણવ સંપ્રદાય અપનાવો એટલે એકદમ ઝીણા તુલસીના મણકાની માળા ગાળામાં પહેરી રાખવાની હોય છે. દરેક સંપ્રદાયના આવા સિમ્બૉલિક ચિન્હો અલગ અલગ હોય શકે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કપાળમાં લાલ રંગનો ચીપિયો વચમાં પીળું બિંદુ હોય છે. જોઇને સમજી જવાય કે ભાઈલો સ્વામિનારાયણ સંપ્રદાયનો ભગત છે. સામે મળે એટલે સિમ્બૉલિક જય સ્વામિનારાયણ બોલે અથવા જયશ્રી કૃષ્ણ કે જય શ્રીનાથજી બોલે. જૈન હોય તો જય જિનેન્દ્ર બોલે. મને યાદ છે વિજાપુરમાં વૈષ્ણવ સંપ્રદાયના ચેલા બનાવે ત્યારે ગરમ ગરમ લોખંડની એક વિશિષ્ટ મુદ્રા ખભા ઉપર ચાંપી દેતા. થોડા દિવસ પાકે, ફોલ્લા થાય પણ પેલી મુદ્રા કાયમ માટે છપાઈ જાય. કે ભાઈ તમે અમારા વાડામાં ઘેટું બની પુરાઈ ગયા. હવે તમારે કશું વિચારવાનું નહિ, અમે કહીએ તેમ કરવાનું. તમારી આ લોક અને પરલોકની જવાબદારી હવે અમારી. સારું થાય તો ભરવાડ ડચકારો બોલાવે કે મારા પુણ્યપ્રતાપે જીવો છો અને કશું ગરબડ થાય તો કરમ ભોગવવા પડે એવો તકિયાકલામ ઇક્સક્યુઝ  સાંભળી લેવાની તૈયારી રાખવાની.

ઓશો કહેતા કે કંઠી પહેરનાર અને ટાઈ પહેરનારમાં કોઈ તાત્વિક ભેદ છે નહિ. ઓશો હોશિયાર તર્કશાસ્ત્રી હતા. પણ યુરોપિયન ટાઈ કેમ પહેરતા હશે? ટાઈ કોઈ ધાર્મિક સંપ્રદાયનું પ્રતીક નથી. ટાઈ પહેરવાનું કારણ આબોહવાને લાગતું છે. યુરોપમાં ઠંડી ખૂબ પડે છે. ઉત્તર અમેરિકામાં પણ પુષ્કળ ઠંડી પડે છે. ભારતમાં હાલ ગરમી હશે અહીં ઉષ્ણતામાન અત્યારથી ૯-૧૦ ડિગ્રી થવા માંડ્યું છે. જાન્યુઆરી-ડિસેમ્બરમાં તો દિવસે શૂન્ય અને રાત્રે માઈનસમાં ઊતરી જાય. ઘરમાંથી સામે બારણે પાર્ક કરેલી ગાડીમાં બેસવા જવું હોય તો પણ જૅકેટ, ગરમ કોટ વગેરે પહેર્યા વગર જવાય નહિ. કાર પણ પાંચદશ મિનિટ પહેલા ચાલુ કરી ગરમ કરવી પડે. ઠંડી જ્યાં જગ્યા મળે ત્યાંથી ઘૂસી જાય. અમે શિયાળો શરુ થતા બારીઓ પેટીપૅક હોય છતાં એની નાં દેખાતી તિરાડમાંથી ઠંડી ઘરમાં ઘૂસી નાં જાય માટે ટેપ લગાવતા હોઈએ છીએ. નહિતો ઘરનું ઉષ્ણતામાન જળવાય નહિ અને સેન્ટ્રલ હીટર આખો દિવસ ચાલુ જ રહે તો યુટીલીટી બીલ વધારે આવે. અમારા જ્યોતીન્દ્રકાકા તો કમરથી નીચેના ભાગમાં જ પાંચ કપડા પહેરે છે, પેન્ટ એ શ્રેણીમાં સૌથી ઉપર હોય. નીચે આટલાં બધાં પહેરતા હોય તો ઉપર કેટલા પહેરતા હશે? શર્ટનાં કોલરમાંથી ઠંડી અંદર ઘૂસી નાં જાય માટે તેને ટાઈ પહેરી જડબેસલાક બંધ કરવાની જરૂરિયાત હોય છે. શર્ટ ઉપર સ્વેટર, એની ઉપર કોટ અને એની ઉપર લાંબો ગરમ કોટ પહેરવો પડતો હોય ત્યાં ટાઈ કઈ રીતે અંધશ્રદ્ધાનું પ્રતીક બને?

ભારતની ગરમીમાં પાશ્ચાત્ય પોશાક અર્થહીન છે. ખરા ઉનાળામાં ટાઈ અને સ્યૂટ પહેરવા આંધળું અનુકરણ છે પણ તેમાં કોઈ અંધશ્રદ્ધા મને દેખાતી નથી. પણ હવે ધોતિયા પહેરીને કોઈ ઑફિસમાં જતું નથી. દક્ષિણ ભારતમાં લુંગી શું કામ પહેરતા હશે? અતિશય ગરમી લુંગી પહેરવા પ્રેરતી હોય છે. યુરોપિયન પહેલા આવ્યા ત્યારે જુના વખતમાં બ્રિચીસ પહેરતા. બ્રિચીસ એવા પેન્ટ હતા જે નીચેથી એકદમ ટાઈટ અને કમરના ભાગમાં ખુલ્લા. કાઠિયાવાડમાં ચોયણા પહેરે છે તેવું પણ કપડું જાડું હોય. આજના પેન્ટ હવે આખી દુનિયામાં પ્રચલિત થઈ ગયા છે. પહેરવેશમાં પણ ઇવલૂશન થતું જ હોય છે. કંઠીની જેમ ટાઈ કોઈ સંપ્રદાયનું પ્રતીક છે નહિ.

untitledઓશો પોતે એમના સંન્યાસીઓને બહુ લાંબી માળા પહેરાવતા અને વચમાં પેન્ડલ હોય એમાં એમનો ફોટો રહેતો સાથે મરુન કલરના કપડા ફરજિયાત હતા. શરૂમાં તેમના ચેલાઓ ઓરેન્જ કલરના કપડા પહેરતા પછી કલર મરુન થઈ ગયો. પણ એક વાત હતી કે તેમના સંન્યાસીઓ સંસારમાં આરામથી રહી શકતા, ભગવા પેન્ટ શર્ટ અને લાંબી માળા લટકાવીને તમામ સાંસારિક જવાબદારીઓ નિભાવતા. સંસારમાં રહીને સંન્યાસ સ્વીકારવાનો એક નવો કૉન્સેપ્ટ એમણે આપેલો. ‘ભાગો મત જાગો’ એમનું મુખ્ય સૂત્ર હતું. પણ ઓશો લોકોની ભાવનાઓને રમાડવાની ગજબ આવડત ધરાવતા હતા. છેવટે તો એમણે એમના સંન્યાસીઓને માળા અને ભગવા ફગાવી દેવાનો આદેશ આપેલો પણ ચેલાઓ એમ છોડે કાઈ? આજે એમના અમુક ચેલાઓ પોતેજ ઓશો બની ચૂક્યા છે. ઓશોની નકલ કરવામાં કોઈ અક્કલ વાપરતા નથી. ઓશોની જેમ મોટા મોટા રોબ પહેરતા હોય છે. એ રોબની બાયો એટલી મોટી હોય કે એક બાયમાંથી કોઈ પાતળી છોકરીનો પંજાબી ડ્રેસ બની જાય.

પાશ્ચાત્ય સંસ્કૃતિને ગાળ દેવાની એક ભારતીય ફૅશન છે. કારણ એના સિવાય આપણી પાસે બીજું કશું બચ્યું નથી. બટનથી માંડી મહાકાય ટાઈટેનિક પશ્ચિમે બનાવ્યા છે. આપણે માયથોલોજી કહો કે સાયન્સ ફિક્શન કહો રામ પુષ્પક વિમાનમાં ઊડતા હતા એવું ગાયે રાખ્યું ને રાઇટ બ્રધર્સે પુષ્પક બનાવી નાખ્યું. આપણે અગ્ન્યાસ્ત્રનું સાયન્સ ફિક્શન ગાયે રાખ્યુંને પશ્ચિમે મિસાઇલ બનાવી નાખ્યા. આપણે બ્રહ્માસ્ત્રનું ફિક્શન ગાયે રાખ્યું ને અમેરિકાએ જાપાન પણ ઝીંકી દીધું. છેક સતયુગ અને દ્વાપર યુગથી વાતો કરે જ રાખતા હતા ત્યારે માંડ કળિયુગમાં કલામે અગ્ન્યાસ્ત્રમાં પગભર કર્યા, થેન્ક્સ ટુ ઇન્દિરા ગાંધી અને થેન્ક્સ ટુ ડૉ અબ્દુલ કલામ, થેન્ક્સ ટુ નામીઅનામી હજારો વૈજ્ઞાનિકો જેમણે ભારતને અગ્ન્યસ્ત્ર પ્રોજેક્ટમાં પગભર કરવા રાતદિવસ સંશોધન કરે રાખ્યું, એમાં મારા મોટાભાઈ ડૉ જે.આર. રાઓલ પણ આવી જાય.

પાશ્ચાત્ય સંસ્કૃતિને સતત ભાંડે રાખતા RSS જેવા સંઘનાં યુનિફૉર્મમાં જે ખાખી ચડ્ડી છે તે પણ પાશ્ચાત્ય સંસ્કૃતિની જ દેન છે, અને બટન વગર ચડ્ડી હોય ખરી? રામ-કૃષ્ણ ક્યાં ખાખી ચડ્ડી પહેરતા હતા? બજરંગ દળનાં તાલીબાની માનસિકતા ધરાવતા કાર્યકરો ધોતિયા પહેરી પેલી છોકરીઓના જિન્સપેન્ટ ખેંચવા નહોતા ગયા, પાશ્ચાત્ય પેન્ટ પહેરીને જ ગયેલા. સાડી સુદ્ધાં પાશ્ચાત્ય છે તે મુરખોને ખબર નથી, ચંદ્રગુપ્તની ગ્રીક રાણી હેલને સાડી શોધેલી તેવું કહેવાય છે.

બીજી એક મસ્ત હસવું આવે ફૅશન કૉમન થઈ ગઈ છે. જો કોઈ બુદ્ધિગમ્ય વાત કરે તો બુદ્ધિજીવી કહીને ગાળો દેવાની એક સરસ ફૅશન ભારતમાં ચાલે છે. જાણે મૂર્ખા હોવામાં કોઈ મેડલ મેળવવા જેવી બાબત હશે. જો તમે તર્ક કરો તો ગાળના અર્થમાં કહેશે બુદ્ધિજીવી છે. માણસ બુદ્ધિનો ઉપયોગ કરે તો સારું કે ખોટું? તર્ક કરવો સારો કે ખોટો? મુરખોને ખબર નથી કે ભારતના ષડ્દર્શન તર્ક આધારિત હતા. હવે ષડ્દર્શન એટલે શું તે આ મહાન આસ્તીકોને ખબર નહિ હોય. એક જ વૈદિક સંસ્કૃતિમાં છ છ અલગ ફિલોસોફી, બધી તર્કશાસ્ત્ર આધારિત. બધી વેદમાન્ય. છતાં વેદથી અલગ એવી ચાર્વાર્કની વિચારધારા પાછી અલગ.. સૌથી મોટા તર્કશાસ્ત્રી કોણ હતા?

બુદ્ધિનો ઉપયોગ કરનારને ગાળો દેનારા મૂરખો જાણી લો કે સૌથી મોટા તર્કશાસ્ત્રી હતા આદિ શંકરાચાર્ય… તે જમાનાના સૌથી મોટા તર્કશાસ્ત્રી untitled=-=મંડનમિશ્રને વાદવિવાદમાં શંકરે હરાવેલા. આજે પોતાના બૈરામાં બુદ્ધિ હોવા છતાં ચુપ બેસ તને સમજ નાં પડે તેવું કહેનારા ચમ્પુઓને ખબર નહિ હોય મંડનમિશ્રનાં વિદુષી શ્રીમતીને કન્વિન્સ કરવામાં શંકરાચાર્યને ફાંફાં પડી ગયેલા. આ વાદવિવાદ જગતની મહાન ડિબેટ હશે જેનો ટેક્નોલૉજીના તે સમયના કુદરતી અભાવે આજે આપણી પાસે કોઈ રેકૉર્ડ નથી. શંકરાચાર્ય ૩૨ વર્ષે તો પ્લૅનેટ અર્થ છોડી વિદાય થઈ ગયેલા. આ વાદવિવાદ સમયે કેટલી ઉંમર હશે તેમની? મંડનમિશ્રે શંકરાચાર્યને એવું નહોતું કહ્યું કે તને નાના છોકરાને શું સમજ પડે? કે તને વાંઢાને શું ગમ પડે? તે મારા જેટલી દિવાળીઓ નથી જોઈ કે તું કુંવારો છે એટલે ‘ગે’ જ હોઈશ તને શું ખબર હોય? કે વડીલો આગળ દલીલ કરાય નહિ કે વડીલ કહે એટલે માની જ લેવાનું.. કે તું પરણેલો નથી તે તને કામશાસ્ત્રની શું ખબર હોય? કે તને કુંવારાને પ્રેમ વિષે શું ખબર હોય? મંડનમિશ્રનાં શ્રીમતીએ કામશાસ્ત્ર વિષે સવાલો પૂછેલા તે બધાના ઉત્તર કુંવારા બ્રહ્મચારી શંકરે આપેલા જ. એવું પણ નહોતું કહ્યું કે તું મુલ્લા વિષે કેમ બોલતો નથી કે મુસ્લિમ ધર્મ વિષે બોલ તો તને સમજ પડી જાય, કે ત્યા તો ફાટી જાય છે કે માથા કપાઈ જાય. બુદ્ધિના સાગરો સવાલ પૂછે તે પહેલા જણાવી દઉં કે શંકરાચાર્ય ભારતમાં વિચારતા હતા ત્યારે કેરાલામાં પહેલી મસ્જિદ બંધાઈ ચૂકી હતી.

 નાં કોઈ ગાળાગાળી નાં કોઈ અંગત આક્ષેપો અને હાર્યા પછી એક નાના છોકરા આગળ હારવામાં ગૌરવ અનુભવી ગળે લગાવી મંડનમિશ્રએ શંકરાચાર્યને આશીર્વાદ આપેલા. ડીબેટનાં આ બે મહારથીઓના દેશમાં આજે ડિબેટ કલ્ચર જ નાશ પામી ગયું છે. આસ્થા, શ્રદ્ધા અને ભક્તિના નામે શાસ્ત્રાર્થની વિદ્યાને કાયમી વિદાય આપી દેવાઈ છે.

પોશાકમાં ઉત્ક્રાંતિ થયા જ કરતી હોય છે. આજે અંગ્રેજો પણ વિક્ટોરિયન યુગના કપડાં પહેરતા નથી.

जानामि अधर्मम न च मे निवृत्ति: ઍશોઆરામ……

 जानामि अधर्मम न च मे निवृत्ति:

“In biology nothing is more important than reproduction”, આપણા સર્વાઈવલનો આ છેલ્લો ઉપાય છે. સર્વાઈવલ માટે આખી જીંદગી લડવું પડતું હોય છે. સમૂહમાં રહેવું તે પણ સર્વાઈવલનો એક ઉપાય જ છે. સમૂહમાં રહેવાથી સર્વાઈવલની તકો વધી જાય. આપણા પૂર્વજો આપણા કરતા સર્વાઈવલ માટે ખૂબ વધુ જહેમત ઉઠાવતા હતા. પેદા કરેલા બાળકો પણ ખૂબ ઓછા બચતાં. આપણા પૂર્વજોમાં પ્રાણીઓ પણ ગણી જ લેવાના. આપણા જિન્સ જીવતા રાખવા તે જેટલા જુદી જુદી જગ્યાએ ફેલાય તેમ કરતા રહેવાની યોજનાઓ બનાવતા રહેવું પણ આપણા જિન્સમાં જ છુપાયેલું હોય છે. વધારામાં આપણી પાસે વિચારશીલ બ્રેન છે. પ્રાણીઓ સીધાસાદા ઉપાયો અજમાવતા હોય. પણ આપણે મોટું બ્રેન ધરાવતા હોશિયાર પ્રાણી હોવાથી જાત જાતની યુક્તિઓ ઘડી કાઢતા હોઈ છીએ. સર્વાઈવલ માટે આખી જીંદગી લડતા રહેવાનું સાથે સાથે અંતિમ ઉપાય તરીકે આપણા જિન્સને જીવતા રાખવા નવી પેઢીમાં આરોપી દેવા મતલબ સંતાન પેદા કરી તેને મોટા કરી નાખવા તે સર્વાઈવલનો અંતિમ ઉપાય. એટલે તો માંબાપ બનીએ તેના કરતા પણ દાદા-દાદી બનીએ ત્યારે વધુ ખુશી થતી હોય છે. કારણ આતો એક વધારાની પેઢીમાં જિન્સ આરોપાઈને સર્વાઈવ થઈ ગયા છે તેની ગેરંટી મળી ગઈ. એટલે માંબાપ તરીકે તો સંતાન પ્રત્યે કઠોર બની શકાતું હોય છે પણ દાદા-દાદી તરીકે કઠોર બનવું અશક્ય છે. મારી વાત ખોટી હોય તો કહો. imagesCAG489IA=-

હવે પુરુષને એના જિન્સ જીવતા રાખવા પાર્ટનર તરીકે સ્ત્રી જોઈએ અને સ્ત્રીને પુરુષ. પણ સ્ત્રી પાસે લિમિટેડ એગ્સ હોવાથી ક્વૉલિટી તરફ વધુ ધ્યાન આપશે પણ પુરુષ ક્વૉલિટી કરતા ક્વૉન્ટિટી તરફ વધુ ધ્યાન આપશે. એટલે મોટું બ્રેન ધરાવતા હોશિયાર પ્રાણી હોવાથી અસંદિગ્ધ યુક્તિઓ શોધી કાઢતા હોઈએ છીએ એમાં જ ઍશોઆરામ અને નારાયણ કુસાઈ જેવા કુ-મહાત્મા ઉત્પન્ન થતા હોય છે જેને આપણે ઓળખી શકતા નથી. હાઈ સ્ટેટ્સ વગર સ્ત્રી માટે જિન્સ ઉછેરવા અઘરા હોવાથી અને પુરુષ માટે હાઈ સ્ટેટ્સ વગર સ્ત્રી મળવી મુશ્કેલ હોવાથી સૌ પ્રથમ હાઈ સ્ટેટ્સ અર્જિત કરવું સૌથી વધુ મહત્વનું હોય છે. એકવાર હાઈ સ્ટેટ્સ મળ્યા પછી ભલભલાં મહાપુરુષો, નેતાઓ, ધાર્મિક ગુરુઓ સ્ત્રીઓમાં કેમ ફસાઈ જતા હોય છે? ધર્મ પણ રાજકારણની જેમ હાઈ સ્ટેટ્સ મેળવાનું એક સાધનમાત્ર બની જતું હોય છે. કારણ એક તો પહેલેથી ગરીબ હોય, બીજી કોઈ ક્વૉલિટી હોય નહિ પૈસા કમાઈને હાઈ સ્ટેટ્સ મેળવવાની, કે એવી કોઈ આવડત હોય નહિ ત્યારે રામચરિતમાનસ કે મંજીરા-કરતાલ બહુ મદદરૂપ થઈ જતા હોય છે. જો કે તે પણ એક આવડત જ કહેવાય.

બાપનું જોઇને છોકરા શીખે તેમ બિલકુલ સરખી જ સ્ટ્રેટેજી ઍશોઆરામની એનો દીકરો નારાયણ કુસાઈ અપનાવે છે. બાપની જેમ જ કથા કરવી, સ્ટેજ ઉપર નાચવું. વધારામાં છોકરીઓના લગ્ન કરાવતી વખતે હાજરી આપી વરરાજાને બદલે પોતે સેંથામાં સિંદૂર પૂરે છે અને મંગળસૂત્ર પણ વરરાજાને બદલે પોતે પહેરાવે છે. છે ને હસવું આવે તેવું? વધુ તો મને આવું બધું કરવા દેનારાઓની માનસિક અંધતા ઉપર દયા અને હસવું આવે છે. પણ આ અંધોને વગર મહેનતે મોક્ષ જોઇતો હોય છે, વગર મહેનતે સર્વાઈવ થવું હોય છે, સર્વાઈવ માટે જે પડકારો આવે તેમાંથી રાહત જોઇતી હોય છે. જેની આ લફન્ગાઓ ગેરંટી આપતા હોય છે. પછી એકવાર એમના ચક્કરમાં ફસાયા પછી ડરાવતા હોય છે અને ડરના માર્યા કમજોર કાયર લોકો જે કહે તે કરવા તૈયાર થઈ જતા હોય છે. મારું ચાલે તો ઍશોઆરામ, નારાયણ કુસાઈ સાથે એમની સામે આજે ફરિયાદ કરનારા બધાને સાથે જ જેલમાં પૂરી દઉં. મોંઘીબાનો સસ્તો દીકરો ભારતને બહુ મોંઘો પડ્યો.

એક ઍશોઆરામ સમાજમાં ઊભો થાય છે તેના માટે આપણે પોતે પણ એટલા જ જવાબદાર છીએ, આપણો લોભ, લાલસા અને ડર પણ એટલો જ જવાબદાર છે. ઍશોઆરામ કોઈ સંત-બંત છે નહી, એ હાઈ ટેસ્ટાસ્ટેરોન ધરવાતો ઍલ્ફા ચિમ્પૅન્ઝી સમજો, જે એના સમૂહ ઉપર ધાક જમાવવા આખો દિવસ બધાને ઝૂડતો હોય, બૂમો પાડતો હોય, ગૃપની માદાઓ ઉપર જોરતલબી કરતો હોય. ઍશોઆરામ એના હિંસક વલણ માટે જાણીતો છે. હાઈ ટેસ્ટાસ્ટેરોન આક્રમક સ્વભાવ આપતો હોય છે. એને હાઈ રાખવા બાવો જાતજાતના નુસખા પણ અજમાવતો હશે, વાજીકરણ હર્બલ દવાઓ ખાતો હશે. આને મિલ્ખાસિંઘ સાથે દોડાવ્યો હોત તો નક્કી ગોલ્ડ મેડલ લઈ આવતો.

મેં વડોદરામાં એક પુરુષ પણ પોતાને માડી મતલબ માતાજી તરીકે ઓળખાવતા ભાઈને જોયા છે. તેઓના ભક્ત જો એમના દરબારમાં નિયમિત હાજરી પુરાવે નહિ તો ધમકી આપતા કે માડીના દરબારમાં હાજરી પુરાવતા નથી પછી કહેતા નહિ કે માડીએ તકલીફ આવી ત્યારે સામું જોયું નહિ? તેઓ થોડી પ્રેક્ટીશ હોવાથી ગરમ તેલમાં પુરીઓ તળવા નાખતા અને હાથથી જ ઉપાડી લેતા, ચીપિયો વાપરતા નહિ ત્યારે બધાને ચમત્કાર લાગતો અને મને મારા ખેડૂત શંકર ડાભલ અને કચરો યાદ આવી જતો કે તેઓ સળગતા અંગારા ઉપાડીને ચલમ ઉપર મૂકી ફૂંકવા માંડતા. હું કહેતો પણ ખરો કે અલ્યા ડોહા આ સળગતો અંગારો ઉપાડો તો દાઝતા નથી? ત્યારે તેઓ હસતા કે બાપુ આ હાથ તો જુઓ પાવડા પકડી પકડી સખત થઈ ગયા છે અંગારો શું દઝાડે?

ચાલો માની લઈએ કે તમે ભગવાનમાં માનો છો તે બરોબર છે. તો ભગવાન એકલા મારો કે તમારો હોય ખરો? પહેલું તો ભગવાન કોઈ વ્યક્તિ હોય ખરો? અને હોય તો બીજા પ્રાણીઓનું શું? એમનો ભગવાન કેવો હશે? ચાલો છે અને હું એને ભજું તો મને હાર્ટઅટૅક આવે અને બચાવે તો પેલાં લાખો લોકો એને માનતા હોય છે, રોજ પ્રાર્થના કરતા જ હોય છે અને હાર્ટઅટૅકમાં કે બીજા કોઈપણ કારણસર મરી જતા હોય છે તેમની કેમ ફેવર કરી નહિ? જેને આપણે પ્રગટ બ્રહ્મ કહીએ છીએ તેઓ પણ હાર્ટઍટૅકમાં સપડાય ત્યારે શું માનવું? કર્મના નિયમના ઇક્સક્યુઝ મારે નથી જોઇતા. એ તમામ બાબતોમાં બહુ સરસ ઇક્સક્યુઝ બને છે. આ એક ઇક્સક્યુઝ બતાવીને જ બાવાઓ તેમની જવાબદારીમાંથી છટકી જતા હોય છે. ભગવાન મારી ફેવર કરે અને તમારી નાં કરે તો પછી ભગવાન ભેદભાવ કરે છે તે સાબિત થઈ જાય. ભગવાન મારા તમારા વચ્ચે ભેદ કરે ખરો? અને કરે તો ભગવાન શાને કહેવાય? પહેલું તો મારો અને એક મુસલમાનનો અને એક ક્રિશ્ચનનો ભગવાન જુદો જુદો કેમ હોય? બધા અવતાર મારે ત્યાં જ થાય અને ચીનમાં કેમ નાં થાય?

ભગવાન એક હોય કે હજારો લાખો હોય? દસ દસ અવતારો જ્યાં થયા હોય તેવી પુણ્યભુમી ફક્ત એક જ ભગવાનમાં માનનારી પ્રજાઓના હાથ નીચે આશરે હજાર વર્ષ ગુલામ કેમ રહી? શું આખા ભારતે એટલા બધા પાપ ગત જન્મોમાં કર્યા હશે? એક પેઢી ૬૦ વર્ષની ઍવરિજ ગણીએ અને ઇગ્ઝૅક્ટ ૬૦ વર્ષે મરવા સમયે છોકરા પેદા થાય ત્યારે ૧૫ પેઢી થાય. તો ૧૫ પેઢી ગુલામ રહી કે નહિ? પંદર પેઢીઓ સુધી કયાં પાપના પ્રતાપે ગુલામી વેઠીને અચાનક આઝાદ થઈ ગયા?

ચાલો હવે કર્મના નિયમ તરફ આવીએ. કર્મનો નિયમ સચોટ હોય અને કર્મના ફળ ભોગવવાના જ હોય તો પછી ભગવાનની હોય તો પણ શું જરૂર છે? ભગવાન હોય તો પણ કર્મના ફળમાંથી બચાવવાનો છે જ નહિ તો હોય કે નાં હોય શું ફરક પડે છે? હોય તો એને એનું કામ કરવા દો. શૂળીનો ઘા સોયથી સરે તેવું કહેનારા કર્મના નિયમને ખોટો પાડે છે. શૂળીનો ઘા સોયથી સરે તો કર્મનો નિયમ જ ખોટો ઠરે. કર્મના નિયમને માનો અથવા ભગવાનને માનો.

આપણો પ્રૉબ્લેમ એ છે કે આપણે ભગવાન અને કર્મના નિયમ બંનેને સાથે માનીએ છીએ. એક બાજુ કહીએ છીએ કે ભગવાન બચાવે અને એકબાજુ કહીએ છીએ કરેલા કર્મ ભોગવવા પડે. મોસ્ટ કન્ફ્યૂઝ્ડ પ્રજા છીએ આપણે. બંને સાથે પણ માની શકાય પણ એમાં ભગવાનને એનું કામ કરવા દો, ના એ કોઈની ફેવર કરે નાં એ કોઈનું બગાડે, તમારી જવાબદારી તમે ભોગવો, નાં એ કોઈનો જુદો હોય. નાં એ દયાળુ હોય નાં એ ક્રૂર હોય. હોય તો બધે જ હોય, કણ કણમાં હોય અથવા કશે નાં હોય. હવે બધે કણ કણમાં હોય તો પણ કામનો નથી અને બધે નાં હોય તો કોઈ સવાલ જ નથી. પણ આપણે બધા લાડવા એક સાથે ખાવા છે. બસ અહીં જ ધૂતારાઓની લીલા શરુ થાય છે. આપણા ડર આપણા લોભ, લાલચ અને કન્ફ્યૂઝન નો મહત્તમ ઉપયોગ કરવાનું જેને આવડી જાય તે મોટો મહાત્મા મોટો ગુરુ બની જાય છે.

જેવો ગુરુ ધન, પદ, સત્તા મેળવી હાઈ સ્ટેટ્સ પ્રાપ્ત કરી લે છે કે તરત ઇવલૂશનરી ફોર્સને તાબે થઈ મહત્તમ જિન્સ ફેલાવવા અચેતનરૂપે સ્ત્રીઓ પાછળ લાગી જતો હોય છે. સ્ત્રીઓ પાછળ લાગી જવાની લાંબી યોજના રૂપે હાઈ સ્ટેટ્સ યેનકેન પ્રકારે પ્રાપ્ત કરાતું હોય છે તેમ કહેવું વધુ યોગ્ય છે. નેતાઓ પણ અન્કૉન્શયસલી આજ કરતા હોય છે.

 કર્મના નિયમમાંથી ભગવાન પણ બચાવી શકવાનો નાં હોય તો ગુરુ ક્યાંથી બચાવશે? તો પછી ગુરુને તાબે થવાની ક્યાં જરૂર છે? ગુરુ પોતે જ હવે જેલમાં ગયા છે તેમને કોણ બચાવશે? તમે કોઈ વ્યક્તિને ભગવાન માની લો અને જ્યારે તે આપણા માટે કશું કરી નાં શકે ત્યારે બહુ મોટો આઘાત લાગતો હોય છે. તે વ્યક્તિ પોતે જ મજબૂર હોય છે. એના પોતાના પ્રૉબ્લેમ્સ અનેક હોય છે, તે પોતે વળી બીજા ભગવાનને કગરતો હોય છે કે મને બચાવ. એને પણ ચૂંટણી લડવાની હોય છે. એને પણ દિલ્હી જવું હોય છે, એમાય પાછાં એના ગુરુ નડતા હોય છે. કારણ ગુરુને પણ દિલ્હીની ગાદી કબજે કરવાનો મોહ હોય છે.

ફક્ત સર્વાઇવલની અને શબ્દો વગરની કેમિકલ્સની ભાષા જાણતું નાનું મગજ કાયમ હાવી થઈ જતું હોય છે. મોટું મગજ જે વિચારશીલ છે તે બધું જાણતું હોય છે પણ છેવટે કરોડો વર્ષથી તમારા અસ્તિત્વ માટે કારણભૂત છે, જે ગમે તેવી વિષમ સ્થિતિઓ હોય તમને કરોડો વર્ષોથી બચાવતું આવ્યું છે તે મૅમલ બ્રેન હાવી થઈ જતું હોય છે. એટલે દુર્યોધન કહેતો હતો કે ધર્મ શું તે હું જાણું જ છું પણ તેમાં પ્રવૃત્ત થઈ શકતો નથી, અને અધર્મ શું તે હું જાણું છું પણ એમાંથી નિવૃત્ત થઈ શકતો નથી. जानामि धर्मम न च मे प्रवृत्ति:, जानामि अधर्मम न च मे निवृत्ति: ખરેખર તો મૅમલ બ્રેન કોઈ અધર્મ આચરતું નથી તેનો તો એક જ ધર્મ છે યેનકેન પ્રકારે તમને બચાવવાનો તે પણ સદીઓ સુધી..

દોઢડાહ્યાઓએ કહેલો ધર્મ જો મૅમલ બ્રેને માન્યો હોત તો આજે આપણું અસ્તિત્વ જ ના હોત..

                                                                                                                           ભૂપેન્દ્રસિંહ રાઓલ

                                                                                                                            ૧૦ સપ્ટેમ્બર, ૨૦૧૩

                                                                                                                             એડિસન, ન્યુ જર્સી.

મિત્રતાનો ફેસબુક ફંડા (વિદ્વાન મિત્રોના અભિપ્રાય અને અનુભવો સાથે)

 images (7)

મિત્રતા-ફેસબુક ફંડા

જંગલમાં એકલો રહેતો હોય કે જેલમાં કાળકોટડીમાં એકલો પૂરેલો હોય, માનવી પશુ-પ્રાણી કે કોઈ પણ જીવજંતુ ને મિત્ર બનાવી લેતો હોય છે. મિત્રતાનો આધાર ત્રણ બાબતો ઉપર હોય છે. કે ત્રણ પ્રકારની મિત્રતા હોય છે. એક મિત્રતા ઉપયોગિતા પર આધાર રાખતી હોય છે. બીજી મિત્રતા આનંદપ્રમોદ ઉપર આધાર રાખતી હોય છે અને ત્રીજી મિત્રતા નૈતિકતા કે ચારિત્ર્ય અને ગુણો કે આચારવિચાર ઉપર આધાર રાખતી હોય છે.

સ્કૂલમાં વિદ્યાર્થીઓ એકબીજાને નોટ્સ, પુસ્તકો અને સાધનો વગેરેની આપલે કરતા હોય છે. પડોશીઓ એકબીજાની વસ્તુઓ શેઅર કરતા હોય છે. અમારા પાડોશી શાંતાબેન બે મરચાં, એકાદ લીંબુ કે એકાદ ડુંગળી લેવા કાયમ આવી જતા. આવી મિત્રતાનો આધાર ઉપયોગિતા ઉપર ટકતો હોય છે. ઉપયોગિતા ખતમ મૈત્રી ખતમ.

ઘણા મિત્રો ખૂબ હસમુખા હોય છે. એમની કંપનીમાં આનંદ આવી જાય. જોડે ફિલમ જોવા જઈએ. કોઈ પ્રોગ્રામ માણવા જઈએ. ઘણા ખર્ચાળ પણ હોય મિત્રો માટે પૈસા ખર્ચતા વાર નાં કરે. આમ એક મૈત્રીનો આધાર આનંદ-પ્રમોદ, મોજશોખ હોય છે. આનંદ ખતમ મૈત્રી ખતમ.

સદાચાર, સદભાવ, સમાન વિચારસરણી, ગુણ આધારિત નૈતિક મિત્રતા કાયમ ટકી જતી હોય છે. આવી મિત્રતામાં આનંદપ્રમોદ અને ઉપયોગિતા સમાયેલી હોય તે વાત જુદી છે. આવા મિત્રતામાં એકબીજાની સારપ વધુ જોવાતી હોય છે. એમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ હોય છે.

એક ઇન્ટરનેશનલ અભ્યાસ (McAndrew & Jeong, 2012) મુજબ ફેસબુકમાં સૌથી વધુ એક્ટીવ યુવાનો, સ્ત્રીઓ અને સિંગલ હોય છે. તેઓ ઇમ્પ્રેશન વધારવા માટે ફોટા, સ્ટેટ્સ અને પોસ્ટ અપડેટ કરવા બીજા લોકો કરતા વધુ સમય ફેસબુક પર ગાળતા હોય છે. ઓલ્ડર યુઝર્સ ફેમિલી રીલેટેડ ફેસબુક એક્ટીવીટીમાં વધુ વ્યસ્ત હોય છે. ટૂંકમાં યુવાન સ્ત્રીઓ ઇચ્છતી હોય કે લોકો તેમને વધુ જુવે અને ઓલ્ડર યુઝર્સ ફેમિલી સાથે સંપર્કમાં રહેવા ઇચ્છતા હોય છે.

રોજીંદી જીવન ઘટમાળમાં આપણે નાના મોટા અસ્વીકાર અવહેલના ભોગવતા જ હોઈએ છીએ. સાથે કામ કરતા સાથીઓ આપણને મૂકીને લંચ લેવા જતા રહેતા હોય, સગાસંબંધી આપણો જન્મદિવસ ભૂલી જતા હોય, પડોશીઓ એમના ત્યાં રાખેલી પાર્ટીમાં આમંત્રણ આપતા નથી, મિત્રો આપણને મૂકીને ફિલ્મ જોવા જતા રહેતા હોય, પતિ કે પત્ની એકબીજાની કામેચ્છા પૂરી કરવાની વિનંતીનો કઠોર અસ્વીકાર કરતા હોય, કોઈને કોઈ દ્વારા આપણી લાગણીઓ ઘવાયા વગર ભાગ્યેજ કોઈ દિવસ કે અઠવાડિયું પસાર થાય. પણ હવે Facebook, Twitter, Linkedin, Instagram જેવી અનેક સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ આપણને લાગણીઓમાં તરબતર કરવા આવી પહોચ્યાં છે, પણ જેટલી સ્વીકારની સંભાવનાઓ વધે તેમ અસ્વીકારની સંભાવનાઓ પણ ખૂબ વધી જતી હોય છે. એટલે કોઈ મિત્ર લાઈક આપવાનું ભૂલી જાય કે રિટ્વીટ કરવાનું ભૂલી જાય ત્યારે પેલાં રિઅલ લાઇફ રિજેક્શન જેવું અહીં પણ અનુભવાય છે. આપણા ટહુકા નો કોઈ પ્રતિસાદ આપવામાંથી છટકી જાય ત્યારે ખૂબ લાગી આવતું હોય છે. લાઈક કોમેન્ટ્સનાં વાટકીવ્યવહાર ના સચવાય તે એક જાતનો સામાજિક બહિષ્કાર જેવું લાગતું હોય છે.

સમજો જ્યારે આપણે કાયમ પાડોશીને નાની મોટી પાર્ટીમાં યાદ રાખીને બોલાવતા હોઈએ પણ તેના ઘેર પ્રસંગ આવે ત્યારે આપણને ભૂલી જાય ત્યારે જે દુઃખ થાય કે લાગણી ઘવાય છે તેવી જ સરખી અનુભૂતિ અહીં ફેસબુકમાં તમને કોઈ મિત્ર દ્વારા લાઈક કે પ્રતિભાવ નાં મળે ત્યારે થતી હોય છે. શારીરિક પેએન વખતે બ્રેનમાં જે વિભાગો વધુ હલચલ બતાવે છે તે જ વિભાગો સામાજિક અસ્વીકાર વખતે પણ વધુ હલચલ બતાવતા હોય છે. એટલે તમને પગમાં ઠેસ વાગે અને અંગૂઠામાં દુખાવો થાય ત્યારે, અને કોઈ સગા એમના ઘેર સારા પ્રસંગે આપણને યાદ નાં કરે અને આપણી લાગણી ઘવાય ત્યારે, અને આપણો મિત્ર આપણી પોસ્ટને લાઈક નાં આપે કે પ્રતિભાવ નાં આપે ત્યારે બ્રેનમાં સેઇમ વિભાગ એક્ટીવ થતા હોય છે. જો આટલું સમજાઈ જાય તો હવે કોઈ લાઈક નાં આપે તો દુઃખ ઓછું થશે.

ઘણીવાર આપણે વધુ પડતું વિચારી લેતા હોઈએ છીએ. માનો કે આપણે કોઈને Linkedin માં જોડાવા આપણી સાથે આમંત્રણ આપીએ પણ તે સ્વીકારે નહિ તો ખોટું લાગતું હોય છે પણ એવું બને કે પેલો ભાઈ Linkedin કદી ખોલતો જ નાં હોય કે વાપરતો જ નાં હોય. હું પોતે ટ્વીટર પર જતો નથી. મારા લેખોની લિંક ઓટ્મેટિક ટ્વીટર પર આવી જતી હોય છે. હું ગુગલ પ્લસ પણ ખાસ વાપરતો નથી. એટલે મને તે સાઈટ્સ પર કોઈ શું કરે મને ખાસ ખબર હોતી નથી. ફેસબુક ઉપર પણ હું આખો દિવસ હોઉં નહિ. બીજું અમારો ટાઈમ ડિફરન્સ પણ ધ્યાનમાં રાખવો પડે. અમારો સુવાનો ટાઈમ થાય ત્યારે તમે કોઈ પોસ્ટ મૂકી હોય જેની અમને જાણ થાય નહિ. હજારો પોસ્ટ અને સ્ટેટ્સ મૂકાતાં હોય ત્યાં કોઈ મિત્રનું ક્યાંય પહોચી ગયું હોય દેખાય પણ નહિ. એટલે જો આપણને સોશિઅલ મીડિયા પર ૧૦૦૦ વખત અસ્વીકાર(રિજેક્શન) અનુભવાય ત્યારે ૯૯૯ વખત કોઈનો અંગત ઇરાદો એવું કરવાનો હોતો નથી. ઘણી બધી જાતજાતની પોસ્ટ મૂકાતી હોય, ફોટા હજારો જાતના મુકાતા હોય છે. મને પોતાને ફોટા મૂકવામાં રસ નથી પડતો. અને એવા મૂકેલા ફોટા પ્રત્યે મારું ખાસ ધ્યાન પણ નાં હોય. દરેકના રસ જુદાજુદા હોય. એટલે જેટલું સોશિઅલ મીડિયા પર સમૃદ્ધ થવાની તકો હોય તેટલી જ તકો રિજેકશનની પણ હોય છે.

ફેસબુક પર લાખો પેજ છે. હેલ્થને લગતા હજારો પેજ હશે. હજારો લાખો ગ્રુપ્સ ચાલતા હશે. જેને જે ભાવે તેમાં જોડાઈ જાય. પોતાના ધંધાની જાહેરાતના પેજ હોય છે તેમ નિઃસ્વાર્થ સેવાભાવી સંસ્થાઓના પણ પેજ છે. આતો જાહેર અન્નકૂટ છે જેને જે ભાવે તે ખાઈ લે.

ફેસબુક વાપરતા બાળકોનાં માતાપિતા ચિંતા કરતા હશે કે એનાથી બાળકોની બુદ્ધિમત્તા પર અસર પડશે. પણ એક અભ્યાસ એનાથી ઊલટું કહે છે. જો કે વધુ પડતો ઉપયોગ સમય બગાડે તે હકીકત છે. પણ અભ્યાસ જતાવે છે કે જે ૧૫-૧૮ વર્ષના બાળકો એક વર્ષ કરતા વધુ સમયથી ફેસબુક વાપરતા હોય તેઓની વર્કિંગ મૅમરી, વર્બલ આઈ કયું, અને સ્પેલિંગ જ્ઞાન એક વર્ષ કરતા ઓછા સમયથી ફેસબુક પર એક્ટીવ હોય તે બાળકો કરતા વધુ હોય છે. કારણ આખી દુનિયામાંથી માહિતીનો ધોધ અહીં વહેતો હોય છે. એની સાથે અનાયાસે રમતા રમતા અનાયાસે ચિંતનમનન થઈ જતું હોય છે.

એક અભ્યાસ જણાવે છે કે ૫૦ વર્ષ વટાવ્યા પછી એકલતા માનવીમાં બ્લડ પ્રેશર વધારવાનું કામ કરતી હોય છે. એટલે એકલતાના નિવારણ માટે મિત્રો હોય તે જરૂરી છે. પણ એવું જરૂરી નથી કે એકલતા દૂર કરવા અસંખ્ય મિત્રો જોઈએ. કે જેમ મિત્રો વધુ તેમ એકલતા વધુ દૂર રહે. એકલતા તમે કેટલા એકલા છો તેના પર આધાર નથી રાખતી પણ તમે કેટલું એકલવાયું અનુભવો છો તેના પર આધાર રાખે છે. ઘણીવાર સગાંસંબંધીઓનાં ટોળા વચ્ચે પણ માણસ એકલતા અનુભવતો હોય છે. ક્યારેક બહુ મોટી પાર્ટીમાં પણ ઘણીવાર એકલતા અનુભવાતી હોય છે. અને ક્યારેક મારા જેવાને સારા પુસ્તકો વાંચવા મળી જાય તો એકલો હોઉં તો પણ એકલતા લાગે નહિ..આમ મિત્રતામાં ગુણવત્તા વધુ મહત્વની છે સંખ્યા નહિ. બહુ ઓછા મિત્રો સાથે પણ એકલતા નિવારી શકાતી હોય છે. અરે! જેની હાજરીમાં એકલતા ગાયબ થઈ જાય તે સારો મિત્ર, બોર નાં કરે તે સારો મિત્ર, જેની હાજરીમાં કમ્ફર્ટેબલ ફીલ કરી શકાય, જેને મળીને જ ખુશ થઈ જવાય, તે સારો મિત્ર..

ફેસબુક પર ગમે તેટલા ફ્રેન્ડસ હોય ખરેખર આપણે બહુ ઓછા મિત્રો સાથે interact ક્રિયાપ્રતિક્રિયા કરી શકતા હોઈએ છીએ. ૫૦૦ મિત્રો ફેસબુક પર હોય તો ભાગ્યેજ ૧૫-૧૭ મિત્રો સાથે અરસપરસ interact કરી શકતા હોઈએ છીએ એવું એક અભ્યાસ બતાવે છે. આ વર્ચ્યૂઅલ ફેન્ડશીપ ક્યારેક રિઅલ મિત્રતામાં પણ બદલાઈ જતી હોય છે. પરદેશમાં રહેતા ફેસબુક મિત્રો દેશમાં આવીને વર્ચ્યૂઅલ મિત્રોની મુલાકાત લઈને એમને રિઅલ મિત્રો પણ બનાવી લેતા હોય છે.

ફેસબુક કે બીજી કોઈપણ સોશિઅલ વેબસાઈટ ઘણા માટે જાત સાથેની ઓળખ પણ બની શકતું હોય છે. હું શરૂમાં ફેસબુક પર ખાસ આવતો નહિ. મને ખુદને ખબર નહોતી કે આ ઇન્ટરનેટ મને લખતા કરી દેશે. મેં સપને પણ વિચાર્યું નહોતું કે હું લખતો થઈ જઈશ. શરૂમાં મેં ઓનલાઇન વાંચવા મળતા દિવ્યભાસ્કરમાં કોઈ લેખ નીચે ટિપ્પણી લખવાનું શરુ કરેલું. એમાંથી પોતાનો બ્લોગ બનાવી લખવાનું શરુ કરેલું. તે સમયે મારા વિચારો અસ્તવ્યસ્ત રીતે લખીને બ્લોગમાં મૂકતો થયેલો. પણ બીજા બ્લોગર મિત્રોએ એને સરાહવાનું શરુ કર્યું એમાં મને વધુને વધુ લખવાની ચાનક ચઢવા લાગી. ધીમે ધીમે ઘડાતો ગયો અને લખાણ પણ સુધરતું ગયું. ફેસબુક પર ભાગ્યેજ આવતો. ફેસબુક પર સૌ પ્રથમ મારી જાહેર ઓળખ આપનાર મિત્ર દર્શિત ગોસ્વામી બન્યા. એમણે મારો એક લેખ મારા નામ સાથે ફેસબુક પર પ્રસિદ્ધ કર્યો એને મિશ્ર પ્રતિભાવો મળેલા. થેન્ક્સ દર્શિત.

ફેસબુક દ્વારા મને ખૂબ સારા મિત્રો મળ્યા છે. તમારી અંદર છુપાયેલી પ્રતિભા બહાર કાઢવાનું ફેસબુક સારું માધ્યમ બની શકે છે. ઈમેલ અને બ્લોગ દ્વારા બહુ ઓછા મિત્રો સાથે સંપર્કમાં રહી શકાય છે પણ ફેસબુક દ્વારા એકસાથે અનેક મિત્રો અને સગાસંબંધી સાથે સંપર્કમાં રહી શકાય છે. જૂની ઓળખાણો તાજી થતી હોય છે. કોઈપણ વસ્તુની સારીનરસી બાજુઓ હોય છે તેમ ફેસબુકને પણ હોય છે. કૉલેજ સ્ટુડન્ટ વચ્ચે કરાયેલો એક અભ્યાસ જતાવે છે કે જે લોકો ફેસબુક ઉપર પોસ્ટ અને સ્ટેટ્સ વધુમાં વધુ અપડેટ કરતા રહેતા હોય છે તેઓ સામાન્ય સંખ્યામાં સ્ટેટ્સ અને પોસ્ટ અપડેટ કરતા લોકોની સરખામણીએ ઓછી એકલતા અનુભવતા હોય છે.

સારી તંદુરસ્તી માટે આપણને ખબર છે કે પૌષ્ટિક ખોરાક લો, નિયમિત કસરત કરો, અને પૂરતો આરામ કરો, પણ કેટલા જાણે છે કે એની સાથે સામાજિક જોડાણ પણ મહત્વ ધરાવે છે? સામાજિક જોડાણ શારીરિક અને માનસિક હેલ્થ ઈમ્પ્રુવ કરે છે તે પણ જાણવા જેવું છે. વધુ પડતું વજન હેલ્થ માટે નુકસાનકારક છે જ પણ તેના કરતા વધુ નુકશાન જો તમે સામાજિક સંબંધો નાં ધરાવતા હોવ ત્યારે થતું હોય છે તેવું પણ એક અભ્યાસ જણાવે છે. ખૂબ મજબૂત સોશિઅલ કનેક્શન ધરાવતા લોકોનું આયુષ્ય વધવાના ચાન્સ ૫૦ ટકા વધી જતા હોય છે. સોશિઅલ કનેક્શન આપણી ઈમ્યુન સિસ્ટિમ મજબૂત કરે છે. Steve Cole નામના વૈજ્ઞાનિકે રિસર્ચ કરેલું છે કે સોશિઅલ કનેક્શન આપણી ઈમ્યુન સિસ્ટિમ ઈમ્પ્રુવ કરે છે જેના લીધે બીમારીમાંથી જલદી બહાર આવી જવાય છે અને તેના લીધે આયુષ્ય પણ વધે છે. જે સામાજિક રીતે બીજા લોકો સાથે વધુ કનેક્ટેડ હોય છે તેઓને anxiety અને depression ઓછું થતું હોય છે. સામાજિક મજબૂત જોડાણ સેલ્ફ એસ્ટીમ વધારે છે, બીજા પ્રત્યે સહાનુભૂતિમાં વધારો કરે છે સાથે સાથે સહકારની ભાવના વિકસે છે, તેનો લાભ બીજાને મળે તો સામેથી આપણને પણ મળતો જ હોય છે. “પરસ્પર દેવો ભવઃ”

ઓછું સામાજિક જોડાણ ધરાવતા લોકોની શારીરિક અને માનસિક હેલ્થ ઓછી થતી જાય છે જેના લીધે એન્ટીસોશિઅલ પ્રવૃત્તિ વધવાનું જોખમ પણ વધી જતું હોય છે તેમ તેમ એકલા પડવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે. એન્ગઝાયટિ, ડિપ્રેશન અને અસામાજિક વૃત્તિઓ સામે અસહાયતા ક્યારેક આત્મહત્યા તરફ દોરી જાય છે.  We are biologically, cognitively, physically, and spiritually wired to love, to be loved, and to belong. આવું ના બને તો ભાંગી પડાતું હોય છે, સંવેદનહીન બની જવાતું હોય છે જે એકંદરે નુકશાન કરતું હોય છે. આપણે વિચારીએ છીએ કે આપણે ધનિક થવા માંગીએ છીએ, સત્તા અને પ્રસિદ્ધિ મેળવવા માંગીએ છીએ, સૌન્દર્ય અને અમર યુવાની ઇચ્છીએ છીએ, નવી કાર જોઈએ છે, પણ આ બધી ઇચ્છાઓના મૂળમાં સામાજિક સ્વીકાર ઇચ્છતા હોઈએ છીએ, કોઈને પોતાના બનાવવા અને કોઈના બનવા માંગતા હોઈએ છીએ. હવા, ખોરાક અને પાણી સાથે સોશિઅલ કનેક્શન આપણી મૂળભૂત ચોથી જરૂરિયાત છે.

મૂવી જોતા વખતે આપણે ભૂલી જતા હોઈએ છીએ કે આ પડદા પર નૃત્ય કરતા દ્ગશ્યોના ટુકડા એકધારા લયમાં ઝડપથી પસાર થતા પારદર્શક ચિત્રો જ છે. આપણે એમાં માનસિક રીતે ઇન્વોલ્વ થઈ જતા હોઈએ છીએ. બસ તેવું જ ફેસબુક જેવા વર્ચ્યૂઅલ જગતનું પણ છે. અને ખરેખર આ વર્ચ્યૂઅલ જગત વર્ચ્યૂઅલ પૂરેપૂરું હોતું પણ નથી. ભલે આપણે ફેસબુક મિત્રોને મળ્યા નાં હોઈએ પણ હકીકતમાં તેઓ બીજા દેશમાં કે શહેરમાં બેઠેલા હોય છે તો ખરા જ. ફેક આઈડી પાછળ પણ કોઈ જીવંત વ્યક્તિ છુપાયેલો તો હોય જ છે. એવા મિત્રોને ખરેખર મળવાના ચાન્સ ૧૦૦ ટકા હોય જ છે. એટલે ભલે ના મળ્યા હોઈએ એમના સુખે સુખી અને એમના દુઃખે દુઃખી પણ થવાતું જ હોય છે, એના માટે કોઈ રિસર્ચની જરૂર નથી. જેને હું કાયમ ઝાઝું લક કહીને સંબોધન કરતો હતો તે ઝલક પાઠકની કાયમી વિદાયનાં સમાચાર સાંભળી વહેલા આંસુ વર્ચ્યૂઅલ નહોતા તે એની સાબિતી છે.

આ ફેસબુક મિત્રતા કહો કે વર્ચ્યૂઅલ મિત્રતા કહો તેના વિષે જુદા જુદા મિત્રોના વિચારો પણ જાણવા જેવા છે.

પોતાનું આગવું વિચાર વલોણું રજૂ કરતા શ્રી અશોકસિંહ વાળા કહે છે, “સોશિયલ સાઇટના ફાયદા અચૂક છે પરંતુ સાઇડ ઇફેક્ટનો સૌ કોઈ ને અનુભવ હશે જ… તમારા એકના એક દિલ પર હાથ રાખીને કહો? પણ પણ પણ આ આભાસી સંબંધો વાસ્તવિક સંબંધોનું આધુનિકરણ છે જે સાચે જ વ્હાલુ લાગે એવું છે… ખરેખર આ ૧૧ પાસ અશ્કાએ આકાંક્ષાથી ઉપરના મિત્રો અને માન-સંમાન ફેસબુક પર મેળવ્યું છે.”

હું એમને કાયમ કહેતો હોઉં છું કે પન્નાલાલ પટેલ પણ બહુ ભણેલા કે સ્નાતક નહોતા પણ એમણે જે સર્જન આપ્યું છે તે કદી ભૂલાય તેવું નથી. ભણતરનો ફેર ચોક્કસ પડતો હોય તમારા સર્જન ઉપર પણ ફરજિયાત ફેર પડે તે જરૂરી નથી. વધુમાં આગળ ઉમેરતા તેઓ કહે છે,

“મિત્રતામાં વિચારોની સમાનતા હોય ત્યાં મૈત્રી ટકવાનાં ચાન્સ ખૂબ વધી જતાં હોય છે મારી જ વાત કરું તો નાનપણમાં ગામડે મોટાભાગના મિત્રો સાથે મારે બનતું નહિ કારણ કે મને/મારા વિચારોને કોઈ સમજે નહિ એટલે કાયમ મિત્રો સાથે મતભેદ રહે અને દરરોજના મતભેદ આખરે મનભેદમાં પરિવર્તિત થાય જતાં હોય છે અને કોઈ એક લેખ, કવિતા કે રચનાને આપની કૉમેન્ટ દ્વારા સંપૂર્ણ ન્યાય આપવો પણ ખૂબ અઘરો અને કદાચ દિલના ખરા શબ્દોથી ઈમાનદારી પૂર્વક ન્યાય ન પણ આપી શકાય ખાસ કરીને ત્યારે જ્યારે મનમાં લાઇકનું ભૂત ધૂણતું હોય… હાહાહા… ક્યાંક હાસ્યના હુલ્લડમાં મન પ્રફુલીત કરવા હાસ્ય પ્રચુર કૉમેન્ટ કરવાની… ત્યાંથી મૂડ ચેઇન્જ કરી કોઈ એક ધાર્મિક પોસ્ટ પર કોઈની ધાર્મિક લાગણી ન દુભાય એનો ખયાલ રાખી કૉમેન્ટ કરી નીકળ્યાં હોય ત્યાં તર્ક સંગત પોસ્ટમાં કૉમેન્ટ કરવાનું આમંત્રણ નોટિફિકેશનમાં આવીને ઉંભુ હોય આ કોમેન્ટોની ભાગદૌડમાં આપણાં ખૂદના વિચારોનો વિરોધાભાસ છતો થયા વગર નથી રહેતો કોઈ પણ વસ્તુ વિષયનો વિરોધાભાસ તો હોવાનો જ એમાં પણ ખાસ કરીને સોશિઅલ સાઇટના તો નબળા અને સબળા પાસા ઊડીને આંખે વળગે એવા… ગામ હોય ત્યાં ઉકરડા પણ હોય એટલે ગામ છોડીને ભાગી થોડું જવાનું? ઉકરડાની સફાઈને પ્રાથમિકતા આપવી ઘટે… વિવેક બુદ્ધિથી ઉપયોગ કરીએ તો ફેસબૂક એક અદ્દભૂત સોશિઅલ સાઇટ છે અને એના સેંકડો ફાયદાઓને પણ નજર અંદાજ ન જ કરી શકાય.”

શ્રી અશોકસિંહ સંવેદનશીલ અછાંદસ કવિ પણ છે તેઓએ ફેસબુકને અનુલક્ષીને એક સુંદર કવિતા પણ લખી છે, ચાલો તે પણ માણી લઈએ.

“માયા ફેસબૂકની”

લાઇકની લ્હાયમાં હલવાણા આ ધુરંધરો

કોયડો કોમેન્ટનો થતો જાય એવો અઘરો,

નર હોય કે, હોય નારી તણી કોઈ દિવાલ

ચડી દિવાલ પર કરે કૉમેન્ટ રૂપી મુજરો,

ફેસબૂક સમંદરની સૌ નાની મોટી માછલી

શબ્દો સૌ કોઈના છે અહીં અજીબ તવંગરો,

અહં આડોડાઈ અકળાવે અંદરથી સૌને

નિખાલસ મનમાં કીડો છે આ કેવો જબરો,

મળે નાનાને ટૅગમાં પણ મોટો ધૂત્કાર અહીં

ને મોટા માંથા કણે જાય વણ નોતર્યો નવરો,

સમયની થપાટે સુધરશે સૌ કોઈ “અશોક”

અપ ટુ ડેટ લિબાસ, છે અંદરથી ઇ લઘરો

– અશોકસિંહ વાળા

વિચક્ષણ પોલીસ અધિકારી શ્રી રાજ બ્રહ્મભટ્ટનું કહેવું છે, “Virtual friendship ! It feels good to be here. Most of us are known according to our profile. We find imaginary characters close to us through their posts, comments, blogs, photos etc. Most of us are bonded with third type of friendship. Yet there are chances  for first & second type friendships too. One thing is for sure, its eternal.”

અમારા મસ્ત મૌલા બલવંતસિંહ જેઠવા સાહેબે ફક્ત ચાર પંક્તિમાં ફેસબુકનો આભાર ઉમદા રીતે સાવ સરળતાથી માની લીધો,

               “ફેસબુકના ના સેતુંથી હૈયા આપણાં ફૂલ્યાં,

             બંધ કંઈક જુના દરવાજા ખૂલ્યાં.

             સ્નેહ સમંદરના મોજે રોજ ઝૂલ્યાં,

             મળ્યાં જુના દોસ્તો હતાં જેને ભૂલ્યાં.”

સંવેદનશીલ હૃદય ધરાવતા સ્વાતિબેન સુથારનું કહેવું છે, “કઈ નક્કી નથી કરી શકાતું કે કેવી મિત્રતા હોય છે એફ.બી. પર? માણસોનું એકબીજા સાથે કોમ્યુનીકેશન જ જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.. જેથી માણસ પોતાની સુખ કે દુખની લાગણી બીજા સાથે શેર કરી શકે અને સ્વસ્થ રહી શકે તન અને મન થી…પરંતુ અહીં આવું પણ બને જેને તમે ખૂબ સહૃદયી  મિત્રો માન્યા હોય.. એ જ તમારા માટે કૈંક ભળતો જ ઓપિનિયન રાખતા હોય ! અને ત્યારે !..તમારી એમના તરફની લાગણી ઓ ને ગળે ટૂપો આપી દેવો પડે…હોતા હૈ ચલતા હૈ…..!  જ્યારે ના વિચારેલા અજાણ્યા મિત્રો તમને ખૂબ મદદરૂપ બનતા હોય છે ! આપણી જાત ને ઠમઠોરી ને કેળવવા માટે પણ આવા સંબંધો જરૂરી છે, એમ માનવું.

પોતાના આગવા રાજકીય દ્રષ્ટિકોણ માટે જાણીતા શ્રી અમરીશ પટેલનું કહેવું છે કે, “ફેસબુક આપણ ને અલગ અલગ વયના સ્ત્રી અને પુરુષો કૉલેજમાં ભણતા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ અને વરિષ્ઠ નાગરિકોના મનમાં શું ચાલી રહ્યું છે જાણવાનું અદ્ભુત પ્લેટફોર્મ પૂરું પાડે છે. સામાન્ય સંજોગોમાં ૧૭ કે ૨૦ વર્ષના તરુણ કે તરુણી કે ગૃહિણીઓ કે અન્ય સ્ત્રીઓ જે તમારા થી ૫૦૦ કે ૧૦૦૦ કે ૨૦૦૦ કિલોમીટર દૂર રહેતા અલગ અલગ જાતિ અલગ અલગ ધર્મના વ્યક્તિ સાથે મિત્રતા કરવી અસંભવિત છે, ફેસબુક એ પ્લેટફોર્મ પૂરું પડે છે ફક્ત Add Friend ની ક્લિક દ્વારા ……….અલગ વ્યક્તિ…..અલગ સમાજ …અલગ પ્રશ્નો ….અલગ અલગ આશાઓ, કલ્પનાઓ વિચારો અને અલગ દ્રષ્ટી કોણ ……અલગ વ્યથા અને અલગ અલગ સંવેદનાનો અનુભવ કરાવે છે……………..ફેસબુક એ મહાસાગર છે જ્યાં મહેનત કરો તો મિત્રો રૂપી મોતી મળવાના જ છે ………મળ્યા વગર એકબીજા સાથે સંવેદના અનુભવવી એ ૨૧મી સદીની મિત્રતાની નવી પરિભાષા છે ……….જ્યારે મળીએ છીએ ત્યારે વધુ આનંદ અનુભવાય છે જેમ બાળપણનો મિત્ર ૧૦ કે ૧૫ વર્ષે મળતો હોય એવી લાગણી અનુભવાય છે. આફ્ટર ઓલ માણસ સામાજિક પ્રાણી છે, જૂથ વગર ટોળા વગર બેચેની અનુભવે છે, એકલતા હતાશા પ્રેરે છે, ત્યાં એફ બી આ એકલતાનો પ્રભાવ કે અસર કૈંક અંશે ઓછી કરે છે …..પરદેશમાં અજાણ્યા લોકોની વચ્ચે રહેતા લોકો પણ આ માધ્યમ થકી પોતાને પોતાના દેશમાં રહેતો હોય એ રીતે જોડી રાખે છે. અને એમાં નોંધવા પાત્ર વાત એ છે કે એમાં વિષયો ની વિવિધતા ખુબજ છે સંગીત ……રાજનીતિ …સામાજિક ……..ફિલ્મ્સ …..સ્પોર્ટ્સ ..સાયકોલોજી ……હ્યુમર ……..સંવેદનશીલ કથાઓ જે વાચકો ના જીવન સાથે સંકળાયેલી હોય છે ……..આમ રસ ના વિષયો વધતા જ જાય છે જે સારો સંકેત છે.”

દક્ષિણ ભારતીય કાનુડાને પોતાના હ્રદયનો રાજકુમાર બનાવીને બેઠેલા એક સંવેદનશીલ ગૃહિણી નિવારોઝીન રાજકુમાર ફેસબુક મિત્રતા વિષે ખૂબ જ હકારાત્મક વિચારો ધરાવતા કહે છે,

આજે ….FACEBOOK..વિશે એક હકારાત્મક અભિગમ…!

(સામાન્ય રીતે જરાક જુદી રીતે …જોવાતું , ચર્ચાતું હોય છે)

Fb..એક સમાજ છે …અલગ અલગ ઓળખ અને વિચારો ધરાવતા લોકો અહિં પણ જોવા મળે છે…બસ થોડું ધ્યાન થી જોવાની , સમજવાની જરૂર પડે…

FB.. એક પરિવાર છે….જરૂર પડ્યે હૂંફ કે સહારો કે થોડા સમય માટે સાથ તો અહિં મળી જ શકે છે…અહિં તમારી વર્તુળની પસંદગી પર બહુ આધાર રહે….નાના નાના ઝઘડાઓ થતા અને મિટતા મેં ખુદ જોયા છે….

FB.. એક મિત્રતા છે , જે અહિં પણ તમારા મારા પર આધાર રાખે છે ..કે આપણે કઈ રીતે નિભાવી શકીએ છીએ…અપેક્ષાના ધોરણો તમારે નક્કી કરવાનાં….

FB.. એક શાળા છે…જ્યાં નવું નવું શીખવાની ઘણી તકો છે..જો ઇચ્છો તો…ઘણું મેળવી શકાય….સારુ મેળવી શકાય…..

FB ..એક સંગઠન છે….જ્યાંથી અનેક સામાજિક પ્રથા-કુપ્રથામાં ફેરફારો શક્ય છે…. awareness..પણ પેદા કરી શકાય….opinion…લઈ શકાય…

FB ..એક સબળ માધ્યમ છે …જેના દ્વારા છૂટા પડેલા અનેક મિત્રો તમે પાછા મેળવ્યા છે….

FB ..એક પ્રવૃતિ છે…પોતાની ધણી બધી આવડતો લોકોને બતાવવાનું ઉત્તમ …છે…સંગીત ,કાવ્યો , લેખો કે એવી કોઈ સ્વતંત્ર ..creativity…..ને અહિં બહોળો અવકાશ છે…

FB.. એક રામબાણ ઇલાજ છે …એકલતા દૂર કરવા માટેનો…જે અહિં જોડાયેલા કેટલાય senior citizens …ને કુટુંબ જેવો …અપનાપનનો અહેસાસ કરાવે છે…ઉપરાંત નકારાત્મક વિચારો થી દૂર રાખે છે…અને સૌથી જરૂરી વાત…એમને …i m wanted ….અનુભવ કરાવે છે..

તમને શું લાગે છે…….?”

    નિવારોઝીન બહેન તમને જે લાગે છે તે જ મને તો લાગે છે. બીજા મિત્રોને પણ એવું જ લાગતું હશે તેમાં કોઈ શક હાલ તો લાગતો નથી. વધુમાં એમનું કહેવું છે કે, ”ગુજરાતી ભાષા જાણે થોડા સમય પછી પાછી આળસ મરડીને ઊભી થઈ હોય એવું જ લાગે છે…..જોરદાર અભિવ્યક્તિઓ જોવા મળી રહી છે….ક્યારેક ન વ્યક્ત થયેલા આત્માઓ વ્યક્ત થઈ રહ્યા છે….જમાપાસા ઘણા છે…થોડા ખરાબ પાસા અવગણીએ તો…..

છોટે ગુગલ મહારાજ શ્રી પૃથ્વિરાજસિંહ રાણા પોતાનો અનુભવ દર્શાવતા કહે છે,

“હું પણ યાહૂ વખતે તેમાં ગાંડા બની ગયેલા લોકો ને જોતો હતો આખી રાત રાત ચેટિંગ કરતાં હોય છે ને એ વખતે પણ એવા જ લોકો હતા જેઓ ને રિયલ લાઇફમાં કોઈ દોસ્તો નહોતા અથવા તો મતી અનુસાર દોસ્તો નોહતા ,,,, બરોબર એવ જ સમયમાં મારે રાજકોટથી વાંકાનેર આવાનું બન્યું ને ત્યારે આહિયા અકિલા ન્યૂઝ વાંચવું સમયના પ્રમાણમાં થોડું અઘરું બન્યું ને તે લીધે વળી નાછૂટકે નેટ પર આવ્યો ને તેમાંથી મામાના એકાઉન્ટમાં થી રાઓલજીના લેખની નોટ વાંચવાનું શરૂ જ કરતો હતો ને ત્યાર થી પછી હું પણ ફેસબૂકનો વ્યસની ક્યારે બની ગયો એ પણ ખબર નો પડી. આમ તમે રાઓલજી મારા આ દુર્વ્યસન માટે સીધી રીતે જ જવાબદાર છો (ને સજા રૂપે તમારે અમેરિકન સ્કોચ પિવડાવી પડશે ખી ખી ખી) એ બાદ કોમેન્ટમાં અને શાયરો ને કવિઓ ને 10\10 ની અંદર માર્ક આપીને કૉમેન્ટ કરતો હતો ને એમાંથી ક્યારે પક્ષ કે પ્રતિપક્ષ કોમેન્ટને બાદમાં પોસ્ટ કરતાં થાય ગયો એ તો હવે ખ્યાલ પણ નથી..  હા આજે પણ ગમતી પોસ્ટ કે કોમેત્ન ને લાઈક તો આપું જ છું ,,,બને ત્યાં સુધી ફ્રેંડલિસ્ટ નાનું રાખવા ની કોશિશ કરું છું ને સિલેકટેડ લોકો સાથે જ વોટ્સએપ કે ડાઇરેક્ટ મળવા નું પસંદ કરું છું ,,,ફેસબૂક ફંડા માટે એટલું જ કહીશ કે અહિંયાં થી મને વધારે મળ્યું છે…… ગુમાવવાની નોબત હાલ સુધી તો આવી નથી…… આગળ અલ્લાહ માલિક……

એકદમ બેલેન્સ્ડ વિચારો ધરાવતા યુવાન મિત્ર કૃણાલ રાજપૂતે તો આ બાબતે આખો નિબંધ જ લખી નાખ્યો છે. છતાં ટૂંકમાં એમના શબ્દોમાં જ જોઈએ. “ ફેસબુક આભાસી દુનિયા છે પણ વાસ્તવિક દુનિયા છે તે પણ ક્યારેક આભાસી નીકળતી હોય તેવું લાગે છે. જે પ્રેમિકાને દિલથી પ્રેમ કર્યો હોય તે ટાટા બાય બાય કરીને જતી રહે ત્યારે એમ થાય કે તો વાસ્તવિક શું હતું ? ક્યારેક પોતાનો કોઈ જીગરી મિત્ર જ બે પૈસા કમાઈ લે અને આપણે તેને અમસ્તાં મિત્રભાવે જ મળવા પહોચી જઈએ અને તેની વાતોમાં ફોર્માલીટી અને પોતાની સકસેસના શો ઑફની વાતો વધારે આવી ગઈ હોય ત્યારે એમ થાય અલ્યા જીવ, આ તો કોસ્મેટીક સર્જરી કરેલું કોઈ બીજું પ્રાણી લાગે છે. ફેસબુક જોઈન કર્યું હતું ત્યારના મિત્રવર્તુળમાંથી ઘણા વાસ્તવિક જીવનમાં થાય છે તેમ વિખેરાઈ ગયા, કેટલાક વૈચારિક મતભેદોથી જૂથોમાં વહેંચાઈ ગયા, કેટલાક નવા ઉમેરાયા. આપે કહ્યું કે કોઈ મિત્ર લાઈક કે કૉમેન્ટ ના આપે તો ખોટું લાગે. કાલે જ એક મિત્ર સાથે વાત થતી હતી કે અમુક વખતે જે પોસ્ટ લખવામાં ૩-૪ કલાક બગડ્યો હોય અને જેને વાંચવામાં પણ ૫ થી ૧૦ મિનિટ લાગે તેવી પોસ્ટ પર પણ અમુક મિત્રો અરધી કે એક મિનિટ માં લાઈક આપી દે ત્યારે એમ લાગે કે મિલ્ખાસિંઘ માત્ર દોડવામાં નહિ વાંચવામાં પણ પેદા થાય છે. આવા લોકો વાંચવામાં મિલ્ખાસિંઘની સાથે સમજવામાં ખુસવંતસિંઘ પણ હોતા હશે. હું પોતે લાઈકની વાડકી વહેવારમાં માનતો નથી. વગર વિચારે કે વગર વાંચે યંત્રવત લાઈક આપવી એ મને વહેવારુ લાગતું નથી. ક્યારેક વાંચી ના શક્યો હોઉં કે કોઈ મુદ્દા પર સમજાયું ના હોય અથવા તો કોઈ મુદ્દા પર મારું પોતાનું મંતવ્ય સ્પષ્ટ ના હોય તો હું લાઈક નથી આપતો. જોકે મોટાભાગે આવી પરિસ્થિતિ નહિ વાંચી શકવાના કારણે આવી ગયી હોય છે. હાલ હવે નવા મિત્રો એડ કરવાના લીમીટેડ કર્યા છે તેનું કારણ એજ છે કે દરેકની પોસ્ટ વાંચી નથી શકાતી. જોકે ફેસબુક નવા મિત્રો પણ બનાવી આપે જેમાં કેટલાક સાથે વાસ્તવિક જીવનમાં પણ મિત્ર બને છે. કેટલાક સાથે માત્ર ફેસબુક પૂરતી જ રામાશ્યામા હોય છે. પોતાના વિચારો સમજી ના શકે તેવું સામાજિક વર્તુળ ના હોય તેઓ અહીં પોતાના વિચારો રજૂ કરે અને તેમના વિચારોને / ક્રિએટીવીટીને પ્રોત્સાહન આપનારા મળી રહે. કોઈને કવિતા લખવાનો શોખ હોય અને તેના સામાજિક વર્તુળમાં કવિતા સંભળાવવી એ અક્ષમ્ય અપરાધ હોય તો તે અહીં પોતાની ક્રિએટીવીટી દર્શાવી શકે છે. આવા લોકો અહીં ફેસબુક પર ભેગાં થઈને પોલીસની દખલ વગર એકબીજા પર કવિતામારો કરી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિને તેના વિચારો સમજી શકે તેવા લોકો મળે ત્યારે તેને એકલવાયું ના લાગે પણ જો ટોળામાં પણ તેના વિચારો સાથે કોઈ અનુકૂળ ના હોય તો તે એકલતા અનુભવે. ફેસબુક ભલે વર્ચુઅલ પ્લેટફોર્મ હોય પણ તેની પાછળના વ્યક્તિત્વો તો વાસ્તવિક જ હોય છે એટલે માનવ સ્વભાવગત રેફ્લેક્સન પણ અહીં જોવા મળે છે.”

વિદ્વાન મિત્ર શ્રી જયેન્દ્ર આશરા એમના કોઈ મિત્રનો દાખલો કહે છે, “અમારા એક-નવા મિત્ર 2-વર્ષ પહેલાં ફેસબુક ઉપર પાગલ-ની-જેમ ચીપકી ને લાંબી-લાંબી કૉમેન્ટ કરતા … અને અમે તેમને પાગલ સમજતા … પણ જ્યારે રૂબરૂ મળવાનું થયું ત્યારે ખબર પડી કે – “તેઓ પત્નીથી અત્યંત દુખી હતા અને ડીપ્રેશનમાં આવી ગયેલા એટલે પછી કોઈ મિત્રની સલાહથી ફેસબુક એકાઉન્ટ ખોલ્યું અને જાણે વર્ષો-જુના મિત્રો મળ્યા હોય તેમ તેમને અનુભવ્યું … અમારા આ મિત્ર ખુબજ સારી કવિતાઓ કરી અને તેમનું માનસિક સંતુલન જાળવે છે અને હવે તેમનો ડંકો ફાઇનાન્સીયલ-માર્કેટમાં પણ વાગવા માંડ્યો છે” …. ટૂંકમાં – તેમને જબર-જસત માનસિક આર્થિક રાહત મળી છે .” આ થયો ફેસબુકનો હકારાત્મક ઉપયોગ. વધુમાં શ્રી જયેન્દ્રભાઈ એમના પોતાના વિચારો ઉમેરે છે, “મારા તમામ વિચારસાથી-વિચારવીરોધી મિત્રો મને અત્યંત પ્રિય છે … અહીં ગજબનું બેલેન્સ છે … કોઈનું કે તમારું અભિમાન પણ નાં વધે … અને તમે જમીન ઉપર ચીપકીને રોજ નવું શીખો તેવું અદ્ભુત-પરોક્ષ ફલક તે તમારું ઓક્સીટોસીન-ડોપામાઈન કંટ્રોલમાં રાખે છે … જ્યારે અહીં ઈસ્ટ્રોજન-ટેસ્ટેસ્ટીરોન પણ ઊભરાય છે..”

જોયું મિત્રો? ફેસબૂકનાં ફાયદા અનેક છે તો ગેરફાયદા પણ છે. એમાં ફેસબૂકનો કોઈ વાંક નથી.

રેફરન્સ

        :   http://www.sciencemag.org/content/241/4865/540.short

        :   http://www.pnas.org/content/early/2011/03/22/1102693108.abstract

        :   http://www.psy.cmu.edu/~scohen/Pressman,%20S.,%20Cohen,%20S.,%20Miller,%20G.%20E.,%20Rabin,%20B.%20S.,%20Barker.pdf

મિત્રતા-ફેસબુક ફંડા

imagesCADB57MYમિત્રતા-ફેસબુક ફંડા

જંગલમાં એકલો રહેતો હોય કે જેલમાં કાળકોટડીમાં એકલો પૂરેલો હોય, માનવી પશુ-પ્રાણી કે કોઈ પણ જીવજંતુ ને મિત્ર બનાવી લેતો હોય છે. મિત્રતાનો આધાર ત્રણ બાબતો ઉપર હોય છે. કે ત્રણ પ્રકારની મિત્રતા હોય છે. એક મિત્રતા ઉપયોગિતા પર આધાર રાખતી હોય છે. બીજી મિત્રતા આનંદપ્રમોદ ઉપર આધાર રાખતી હોય છે અને ત્રીજી મિત્રતા નૈતિકતા કે ચારિત્ર્ય અને ગુણો કે આચારવિચાર ઉપર આધાર રાખતી હોય છે.

સ્કૂલમાં વિદ્યાર્થીઓ એકબીજાને નોટ્સ, પુસ્તકો અને સાધનો વગેરેની આપલે કરતા હોય છે. પડોશીઓ એકબીજાની વસ્તુઓ શેઅર કરતા હોય છે. અમારા પાડોશી શાંતાબેન બે મરચાં, એકાદ લીંબુ કે એકાદ ડુંગળી લેવા કાયમ આવી જતા. આવી મિત્રતાનો આધાર ઉપયોગિતા ઉપર ટકતો હોય છે. ઉપયોગિતા ખતમ મૈત્રી ખતમ.

ઘણા મિત્રો ખૂબ હસમુખા હોય છે. એમની કંપનીમાં આનંદ આવી જાય. જોડે ફિલમ જોવા જઈએ. કોઈ પ્રોગ્રામ માણવા જઈએ. ઘણા ખર્ચાળ પણ હોય મિત્રો માટે પૈસા ખર્ચતા વાર નાં કરે. આમ એક મૈત્રીનો આધાર આનંદ-પ્રમોદ, મોજશોખ હોય છે. આનંદ ખતમ મૈત્રી ખતમ.

સદાચાર, સદભાવ, સમાન વિચારસરણી, ગુણ આધારિત નૈતિક મિત્રતા કાયમ ટકી જતી હોય છે. આવી મિત્રતામાં આનંદપ્રમોદ અને ઉપયોગિતા સમાયેલી હોય તે વાત જુદી છે. આવા મિત્રતામાં એકબીજાની સારપ વધુ જોવાતી હોય છે. એમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ હોય છે.

એક ઇન્ટરનેશનલ અભ્યાસ (McAndrew & Jeong, 2012) મુજબ ફેસબુકમાં સૌથી વધુ એક્ટીવ યુવાનો, સ્ત્રીઓ અને સિંગલ હોય છે. તેઓ ઇમ્પ્રેશન વધારવા માટે ફોટા, સ્ટેટ્સ અને પોસ્ટ અપડેટ કરવા બીજા લોકો કરતા વધુ સમય ફેસબુક પર ગાળતા હોય છે. ઓલ્ડર યુઝર્સ ફેમિલી રીલેટેડ ફેસબુક એક્ટીવીટીમાં વધુ વ્યસ્ત હોય છે. ટૂંકમાં યુવાન સ્ત્રીઓ ઇચ્છતી હોય કે લોકો તેમને વધુ જુવે અને ઓલ્ડર યુઝર્સ ફેમિલી સાથે સંપર્કમાં રહેવા ઇચ્છતા હોય છે.

રોજીંદી જીવન ઘટમાળમાં આપણે નાના મોટા અસ્વીકાર અવહેલના ભોગવતા જ હોઈએ છીએ. સાથે કામ કરતા સાથીઓ આપણને મૂકીને લંચ લેવા જતા રહેતા હોય, સગાસંબંધી આપણો જન્મદિવસ ભૂલી જતા હોય, પડોશીઓ એમના ત્યાં રાખેલી પાર્ટીમાં આમંત્રણ આપતા નથી, મિત્રો આપણને મૂકીને ફિલ્મ જોવા જતા રહેતા હોય, પતિ કે પત્ની એકબીજાની કામેચ્છા પૂરી કરવાની વિનંતીનો કઠોર અસ્વીકાર કરતા હોય, કોઈને કોઈ દ્વારા આપણી લાગણીઓ ઘવાયા વગર ભાગ્યેજ કોઈ દિવસ કે અઠવાડિયું પસાર થાય. પણ હવે Facebook, Twitter, Linkedin, Instagram જેવી અનેક સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ આપણને લાગણીઓમાં તરબતર કરવા આવી પહોચ્યાં છે, પણ જેટલી સ્વીકારની સંભાવનાઓ વધે તેમ અસ્વીકારની સંભાવનાઓ પણ ખૂબ વધી જતી હોય છે. એટલે કોઈ મિત્ર લાઈક આપવાનું ભૂલી જાય કે રિટ્વીટ કરવાનું ભૂલી જાય ત્યારે પેલાં રિઅલ લાઇફ રિજેક્શન જેવું અહીં પણ અનુભવાય છે. આપણા ટહુકા નો કોઈ પ્રતિસાદ આપવામાંથી છટકી જાય ત્યારે ખૂબ લાગી આવતું હોય છે. લાઈક કોમેન્ટ્સનાં વાટકીવ્યવહાર ના સચવાય તે એક જાતનો સામાજિક બહિષ્કાર જેવું લાગતું હોય છે.

સમજો જ્યારે આપણે કાયમ પાડોશીને નાની મોટી પાર્ટીમાં યાદ રાખીને બોલાવતા હોઈએ પણ તેના ઘેર પ્રસંગ આવે ત્યારે આપણને ભૂલી જાય ત્યારે જે દુઃખ થાય કે લાગણી ઘવાય છે તેવી જ સરખી અનુભૂતિ અહીં ફેસબુકમાં તમને કોઈ મિત્ર દ્વારા લાઈક કે પ્રતિભાવ નાં મળે ત્યારે થતી હોય છે. શારીરિક પેએન વખતે બ્રેનમાં જે વિભાગો વધુ હલચલ બતાવે છે તે જ વિભાગો સામાજિક અસ્વીકાર વખતે પણ વધુ હલચલ બતાવતા હોય છે. એટલે તમને પગમાં ઠેસ વાગે અને અંગૂઠામાં દુખાવો થાય ત્યારે, અને કોઈ સગા એમના ઘેર સારા પ્રસંગે આપણને યાદ નાં કરે અને આપણી લાગણી ઘવાય ત્યારે, અને આપણો મિત્ર આપણી પોસ્ટને લાઈક નાં આપે કે પ્રતિભાવ નાં આપે ત્યારે બ્રેનમાં સેઇમ વિભાગ એક્ટીવ થતા હોય છે. જો આટલું સમજાઈ જાય તો હવે કોઈ લાઈક નાં આપે તો દુઃખ ઓછું થશે.

ઘણીવાર આપણે વધુ પડતું વિચારી લેતા હોઈએ છીએ. માનો કે આપણે કોઈને Linkedin માં જોડાવા આપણી સાથે આમંત્રણ આપીએ પણ તે સ્વીકારે નહિ તો ખોટું લાગતું હોય છે પણ એવું બને કે પેલો ભાઈ Linkedin કદી ખોલતો જ નાં હોય કે વાપરતો જ નાં હોય. હું પોતે ટ્વીટર પર જતો નથી. મારા લેખોની લિંક ઓટ્મેટિક ટ્વીટર પર આવી જતી હોય છે. હું ગુગલ પ્લસ પણ ખાસ વાપરતો નથી. એટલે મને તે સાઈટ્સ પર કોઈ શું કરે મને ખાસ ખબર હોતી નથી. ફેસબુક ઉપર પણ હું આખો દિવસ હોઉં નહિ. બીજું અમારો ટાઈમ ડિફરન્સ પણ ધ્યાનમાં રાખવો પડે. અમારો સુવાનો ટાઈમ થાય ત્યારે તમે કોઈ પોસ્ટ મૂકી હોય જેની અમને જાણ થાય નહિ. હજારો પોસ્ટ અને સ્ટેટ્સ મૂકાતાં હોય ત્યાં કોઈ મિત્રનું ક્યાંય પહોચી ગયું હોય દેખાય પણ નહિ. એટલે જો આપણને સોશિઅલ મીડિયા પર ૧૦૦૦ વખત અસ્વીકાર(રિજેક્શન) અનુભવાય ત્યારે ૯૯૯ વખત કોઈનો અંગત ઇરાદો એવું કરવાનો હોતો નથી. ઘણી બધી જાતજાતની પોસ્ટ મૂકાતી હોય, ફોટા હજારો જાતના મુકાતા હોય છે. મને પોતાને ફોટા મૂકવામાં રસ નથી પડતો. અને એવા મૂકેલા ફોટા પ્રત્યે મારું ખાસ ધ્યાન પણ નાં હોય. દરેકના રસ જુદાજુદા હોય. એટલે જેટલું સોશિઅલ મીડિયા પર સમૃદ્ધ થવાની તકો હોય તેટલી જ તકો રિજેકશનની પણ હોય છે.

ફેસબુક પર લાખો પેજ છે. હેલ્થને લગતા હજારો પેજ હશે. હજારો લાખો ગ્રુપ્સ ચાલતા હશે. જેને જે ભાવે તેમાં જોડાઈ જાય. પોતાના ધંધાની જાહેરાતના પેજ હોય છે તેમ નિઃસ્વાર્થ સેવાભાવી સંસ્થાઓના પણ પેજ છે. આતો જાહેર અન્નકૂટ છે જેને જે ભાવે તે ખાઈ લે.

ફેસબુક વાપરતા બાળકોનાં માતાપિતા ચિંતા કરતા હશે કે એનાથી બાળકોની બુદ્ધિમત્તા પર અસર પડશે. પણ એક અભ્યાસ એનાથી ઊલટું કહે છે. જો કે વધુ પડતો ઉપયોગ સમય બગાડે તે હકીકત છે. પણ અભ્યાસ જતાવે છે કે જે ૧૫-૧૮ વર્ષના બાળકો એક વર્ષ કરતા વધુ સમયથી ફેસબુક વાપરતા હોય તેઓની વર્કિંગ મૅમરી, વર્બલ આઈ કયું, અને સ્પેલિંગ જ્ઞાન એક વર્ષ કરતા ઓછા સમયથી ફેસબુક પર એક્ટીવ હોય તે બાળકો કરતા વધુ હોય છે. કારણ આખી દુનિયામાંથી માહિતીનો ધોધ અહીં વહેતો હોય છે. એની સાથે અનાયાસે રમતા રમતા અનાયાસે ચિંતનમનન થઈ જતું હોય છે.

એક અભ્યાસ જણાવે છે કે ૫૦ વર્ષ વટાવ્યા પછી એકલતા માનવીમાં બ્લડ પ્રેશર વધારવાનું કામ કરતી હોય છે. એટલે એકલતાના નિવારણ માટે મિત્રો હોય તે જરૂરી છે. પણ એવું જરૂરી નથી કે એકલતા દૂર કરવા અસંખ્ય મિત્રો જોઈએ. કે જેમ મિત્રો વધુ તેમ એકલતા વધુ દૂર રહે. એકલતા તમે કેટલા એકલા છો તેના પર આધાર નથી રાખતી પણ તમે કેટલું એકલવાયું અનુભવો છો તેના પર આધાર રાખે છે. ઘણીવાર સગાંસંબંધીઓનાં ટોળા વચ્ચે પણ માણસ એકલતા અનુભવતો હોય છે. ક્યારેક બહુ મોટી પાર્ટીમાં પણ ઘણીવાર એકલતા અનુભવાતી હોય છે. અને ક્યારેક મારા જેવાને સારા પુસ્તકો વાંચવા મળી જાય તો એકલો હોઉં તો પણ એકલતા લાગે નહિ..આમ મિત્રતામાં ગુણવત્તા વધુ મહત્વની છે સંખ્યા નહિ. બહુ ઓછા મિત્રો સાથે પણ એકલતા નિવારી શકાતી હોય છે. અરે! જેની હાજરીમાં એકલતા ગાયબ થઈ જાય તે સારો મિત્ર, બોર નાં કરે તે સારો મિત્ર, જેની હાજરીમાં કમ્ફર્ટેબલ ફીલ કરી શકાય, જેને મળીને જ ખુશ થઈ જવાય, તે સારો મિત્ર..

ફેસબુક પર ગમે તેટલા ફ્રેન્ડસ હોય ખરેખર આપણે બહુ ઓછા મિત્રો સાથે interact ક્રિયાપ્રતિક્રિયા કરી શકતા હોઈએ છીએ. ૫૦૦ મિત્રો ફેસબુક પર હોય તો ભાગ્યેજ ૧૫-૧૭ મિત્રો સાથે અરસપરસ interact કરી શકતા હોઈએ છીએ એવું એક અભ્યાસ બતાવે છે. આ વર્ચ્યૂઅલ ફેન્ડશીપ ક્યારેક રિઅલ મિત્રતામાં પણ બદલાઈ જતી હોય છે. પરદેશમાં રહેતા ફેસબુક મિત્રો દેશમાં આવીને વર્ચ્યૂઅલ મિત્રોની મુલાકાત લઈને એમને રિઅલ મિત્રો પણ બનાવી લેતા હોય છે.

ફેસબુક કે બીજી કોઈપણ સોશિઅલ વેબસાઈટ ઘણા માટે જાત સાથેની ઓળખ પણ બની શકતું હોય છે. હું શરૂમાં ફેસબુક પર ખાસ આવતો નહિ. મને ખુદને ખબર નહોતી કે આ ઇન્ટરનેટ મને લખતા કરી દેશે. મેં સપને પણ વિચાર્યું નહોતું કે હું લખતો થઈ જઈશ. શરૂમાં મેં ઓનલાઇન વાંચવા મળતા દિવ્યભાસ્કરમાં કોઈ લેખ નીચે ટિપ્પણી લખવાનું શરુ કરેલું. એમાંથી પોતાનો બ્લોગ બનાવી લખવાનું શરુ કરેલું. તે સમયે મારા વિચારો અસ્તવ્યસ્ત રીતે લખીને બ્લોગમાં મૂકતો થયેલો. પણ બીજા બ્લોગર મિત્રોએ એને સરાહવાનું શરુ કર્યું એમાં મને વધુને વધુ લખવાની ચાનક ચઢવા લાગી. ધીમે ધીમે ઘડાતો ગયો અને લખાણ પણ સુધરતું ગયું. ફેસબુક પર ભાગ્યેજ આવતો. ફેસબુક પર સૌ પ્રથમ મારી જાહેર ઓળખ આપનાર મિત્ર દર્શિત ગોસ્વામી બન્યા. એમણે મારો એક લેખ મારા નામ સાથે ફેસબુક પર પ્રસિદ્ધ કર્યો એને મિશ્ર પ્રતિભાવો મળેલા. થેન્ક્સ દર્શિત.

ફેસબુક દ્વારા મને ખૂબ સારા મિત્રો મળ્યા છે. તમારી અંદર છુપાયેલી પ્રતિભા બહાર કાઢવાનું ફેસબુક સારું માધ્યમ બની શકે છે. ઈમેલ અને બ્લોગ દ્વારા બહુ ઓછા મિત્રો સાથે સંપર્કમાં રહી શકાય છે પણ ફેસબુક દ્વારા એકસાથે અનેક મિત્રો અને સગાસંબંધી સાથે સંપર્કમાં રહી શકાય છે. જૂની ઓળખાણો તાજી થતી હોય છે. કોઈપણ વસ્તુની સારીનરસી બાજુઓ હોય છે તેમ ફેસબુકને પણ હોય છે. કૉલેજ સ્ટુડન્ટ વચ્ચે કરાયેલો એક અભ્યાસ જતાવે છે કે જે લોકો ફેસબુક ઉપર પોસ્ટ અને સ્ટેટ્સ વધુમાં વધુ અપડેટ કરતા રહેતા હોય છે તેઓ સામાન્ય સંખ્યામાં સ્ટેટ્સ અને પોસ્ટ અપડેટ કરતા લોકોની સરખામણીએ ઓછી એકલતા અનુભવતા હોય છે.

સારી તંદુરસ્તી માટે આપણને ખબર છે કે પૌષ્ટિક ખોરાક લો, નિયમિત કસરત કરો, અને પૂરતો આરામ કરો, પણ કેટલા જાણે છે કે એની સાથે સામાજિક જોડાણ પણ મહત્વ ધરાવે છે? સામાજિક જોડાણ શારીરિક અને માનસિક હેલ્થ ઈમ્પ્રુવ કરે છે તે પણ જાણવા જેવું છે. વધુ પડતું વજન હેલ્થ માટે નુકસાનકારક છે જ પણ તેના કરતા વધુ નુકશાન જો તમે સામાજિક સંબંધો નાં ધરાવતા હોવ ત્યારે થતું હોય છે તેવું પણ એક અભ્યાસ જણાવે છે. ખૂબ મજબૂત સોશિઅલ કનેક્શન ધરાવતા લોકોનું આયુષ્ય વધવાના ચાન્સ ૫૦ ટકા વધી જતા હોય છે. સોશિઅલ કનેક્શન આપણી ઈમ્યુન સિસ્ટિમ મજબૂત કરે છે. Steve Cole નામના વૈજ્ઞાનિકે રિસર્ચ કરેલું છે કે સોશિઅલ કનેક્શન આપણી ઈમ્યુન સિસ્ટિમ ઈમ્પ્રુવ કરે છે જેના લીધે બીમારીમાંથી જલદી બહાર આવી જવાય છે અને તેના લીધે આયુષ્ય પણ વધે છે. જે સામાજિક રીતે બીજા લોકો સાથે વધુ કનેક્ટેડ હોય છે તેઓને anxiety અને depression ઓછું થતું હોય છે. સામાજિક મજબૂત જોડાણ સેલ્ફ એસ્ટીમ વધારે છે, બીજા પ્રત્યે સહાનુભૂતિમાં વધારો કરે છે સાથે સાથે સહકારની ભાવના વિકસે છે, તેનો લાભ બીજાને મળે તો સામેથી આપણને પણ મળતો જ હોય છે. “પરસ્પર દેવો ભવઃ”

ઓછું સામાજિક જોડાણ ધરાવતા લોકોની શારીરિક અને માનસિક હેલ્થ ઓછી થતી જાય છે જેના લીધે એન્ટીસોશિઅલ પ્રવૃત્તિ વધવાનું જોખમ પણ વધી જતું હોય છે તેમ તેમ એકલા પડવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે. એન્ગઝાયટિ, ડિપ્રેશન અને અસામાજિક વૃત્તિઓ સામે અસહાયતા ક્યારેક આત્મહત્યા તરફ દોરી જાય છે.  We are biologically, cognitively, physically, and spiritually wired to love, to be loved, and to belong. આવું ના બને તો ભાંગી પડાતું હોય છે, સંવેદનહીન બની જવાતું હોય છે જે એકંદરે નુકશાન કરતું હોય છે. આપણે વિચારીએ છીએ કે આપણે ધનિક થવા માંગીએ છીએ, સત્તા અને પ્રસિદ્ધિ મેળવવા માંગીએ છીએ, સૌન્દર્ય અને અમર યુવાની ઇચ્છીએ છીએ, નવી કાર જોઈએ છે, પણ આ બધી ઇચ્છાઓના મૂળમાં સામાજિક સ્વીકાર ઇચ્છતા હોઈએ છીએ, કોઈને પોતાના બનાવવા અને કોઈના બનવા માંગતા હોઈએ છીએ. હવા, ખોરાક અને પાણી સાથે સોશિઅલ કનેક્શન આપણી મૂળભૂત ચોથી જરૂરિયાત છે.

મૂવી જોતા વખતે આપણે ભૂલી જતા હોઈએ છીએ કે આ પડદા પર નૃત્ય કરતા દ્ગશ્યોના ટુકડા એકધારા લયમાં ઝડપથી પસાર થતા પારદર્શક ચિત્રો જ છે. આપણે એમાં માનસિક રીતે ઇન્વોલ્વ થઈ જતા હોઈએ છીએ. બસ તેવું જ ફેસબુક જેવા વર્ચ્યૂઅલ જગતનું પણ છે. અને ખરેખર આ વર્ચ્યૂઅલ જગત વર્ચ્યૂઅલ પૂરેપૂરું હોતું પણ નથી. ભલે આપણે ફેસબુક મિત્રોને મળ્યા નાં હોઈએ પણ હકીકતમાં તેઓ બીજા દેશમાં કે શહેરમાં બેઠેલા હોય છે તો ખરા જ. ફેક આઈડી પાછળ પણ કોઈ જીવંત વ્યક્તિ છુપાયેલો તો હોય જ છે. એવા મિત્રોને ખરેખર મળવાના ચાન્સ ૧૦૦ ટકા હોય જ છે. એટલે ભલે ના મળ્યા હોઈએ એમના સુખે સુખી અને એમના દુઃખે દુઃખી પણ થવાતું જ હોય છે, એના માટે કોઈ રિસર્ચની જરૂર નથી. જેને હું કાયમ ઝાઝું લક કહીને સંબોધન કરતો હતો તે ઝલક પાઠકની કાયમી વિદાયનાં સમાચાર સાંભળી વહેલા આંસુ વર્ચ્યૂઅલ નહોતા તે એની સાબિતી છે.

રેફરન્સ

        :   http://www.sciencemag.org/content/241/4865/540.short

        :   http://www.pnas.org/content/early/2011/03/22/1102693108.abstract

        :   http://www.psy.cmu.edu/~scohen/Pressman,%20S.,%20Cohen,%20S.,%20Miller,%20G.%20E.,%20Rabin,%20B.%20S.,%20Barker.pdf

ગપોડી લેખકો-૨

ગપોડી લેખકો-૨

એચ. ચતુર્ભુજ નામના એક લેખકનો લેખ હમણાં વાંચવામાં આવ્યો લેખ હતો ગાયત્રી પરિવારના સ્થાપક પંડિત શ્રી. રામશર્મા આચાર્ય વિષે. શ્રી. રામ શર્મા બહુ મોટા વિદ્વાન હતા. વેદોના સરળ ભાષ્ય એમણે હિન્દીમાં કર્યા છે. ખાસ તો સ્ત્રીઓ પણ ગાયત્રીમંત્ર રટણ કરી શકે તે એમણે શરુ કરેલું. અહીં વાત લેખકે મારેલા ગપ વિષે કરવી છે. એટલે શ્રી. રામ શર્માના ચાહકો એમને વચમાં લાવતા નહિ તેવી વિનંતી છે. લેખકે લખેલું શબ્દશઃ નીચે ઉતારુ છું.

“લગભગ સવાસો વર્ષ પહેલા, મૃત્યુલોકની મુલાકાત અને ભારત ભ્રમણ વેળા, નારદજીને જ્ઞાન થયું કે બ્રાહ્મણોએ વેદમાતા ગાયત્રીને કેદ કે બાનમાં રાખેલ છે. ફક્ત બ્રાહ્મણો જ અને તેમાં પણ ફક્ત પુરુષ વર્ગ જ અમોઘ ગાયત્રી મંત્રોચ્ચાર કરી શકે, બ્રાહ્મણ સ્ત્રીઓ કે ઈતર જ્ઞાતિના લોકો તે કરી શકે નહિ. આ પહેલાં એક સમય એવો હતો કે જ્યારે બધીજ જ્ઞાતિ કે વર્ણનાં, નર કે નાર, સર્વે ગાયત્રી મંત્રના અધિકારી હતા. પછી બ્રાહ્મણોએ, નિજ સ્વાર્થ માટે કઈ બંધનો મૂક્યા અને ગાયત્રીગાન પર ધાર્મિક પ્રતિબંધ મૂક્યો. શ્રી નારદજીએ શ્રી વિષ્ણુ ભગવાનને માહિતી આપી. તુરત દેવોની સભા બોલાવાઈ, તાત્કાલિક એક દેવને વેદમાતા ગાયત્રીના બંધનો તોડવા મૃત્યુલોકમાં મોકલ્યા, ઉપરોક્ત દેવદૂતને, વેદમાતા ગાયત્રીના બંધનોમાંથી મુક્ત કરી, સર્વજન માટે ઉપલબ્ધ કરે તેવી સૂચના અપાઈ. ફલસ્વરૂપ દેવદૂતનો જન્મ તા. ૨૦ સપ્ટેમ્બર ૧૯૧૧માં પિતા વિદ્વાન સદગૃહસ્થ પંડિત રૂપકુમાર શર્મા અને માતા તપસ્થિતિ દાનકુંવરનાં કુટુંબમાં પુત્રરૂપે, ગ્રામ-સ્થળ-આવંલ ખેડા(ઉત્તરપ્રદેશ)ભારતમાં થયો. તેમનું શુભનામ શ્રીરામ શર્માજી.”

એક અન્ય ફકરામાં લેખક ઉમેરે છે, “ વળી ભારતભરમાં ફેલાયેલ આ ધાર્મિક, સમૃદ્ધિ, સાત્વિક સંસ્થાનો કાર્યભાર કે સોંપણી તેઓના સુપુત્રને આપવાને બદલે એક ગાયત્રી ઉપાસક એવા ગોલ્ડમેડાલીસ્ટ મેડીકલ ડૉક્ટર શ્રી પ્રણવ પંડ્યાને સોંપ્યો.”

ઉપરની વાર્તા વાંચી? સવાસો વર્ષ પહેલાં નારદજી ભારતમાં ફરવા આવેલા..હહાહાહાહાહાહાહા વિષ્ણુ ભગવાનને માહિતી આપી, દેવોની સભા બોલાવાઈ વગેરે વગેરે કેવી મજાની કલ્પના છે? આ આખો લેખ શ્રી. રામ શર્માજીનો પરિચય આપવા લખાયેલો છે. એક મોટું ગપ એ માર્યું છે કે રામશર્માએ એમના પુત્રને એમની સંસ્થાનો કારોબાર નાં સોંપ્યો પણ ડૉક્ટર પ્રણવ પંડ્યાને સોંપ્યો. હવે સત્ય એ છે કે રામશર્માજીને પુત્ર છે જ નહિ..હહાહાહાહાહા એક દીકરી જ છે અને ડૉ. પ્રણવ પંડ્યા એમના જમાઈ જ છે.

ધાર્મિક મહિલાઓ જે ગાયત્રીગાનથી વંચિત હતી તેઓ માટે રામ શર્માજીએ બહુ મોટું કામ કર્યું છે. સ્ત્રીઓ પણ યજ્ઞાદી કર્મકાંડ કરાવી શકે તેવું સુધારાવાદી પગલું તેમણે ભરેલું. એમની હયાતીમાં તેઓ મોટાભાગે એકાંતવાસ ગાળતા ત્યારથી એમની સંસ્થાનો વહીવટ એમના ધર્મપત્ની ભગવતીદેવી શર્મા સંભાળતા. હવે એમના નિધન પછી એમના પુત્રી અને જમાઈ સંભાળે છે.

મૂળ વાત લેખકની અદ્ભુત કલ્પના શક્તિની છે. છેલ્લે લેખક ઉમેરે છે કે ‘ લેખક ૧૦૦ ટકા બ્રાહ્મણ છે. વિનંતી કે કોઈ બંધ બેસતી પાઘડી પહેરે નહિ.’ શું બીજા બ્રાહ્મણો ૧૦૦ ટકા બ્રાહ્મણ નહિ હોય?…

ગપોડી લેખકો-૧

 euthanasiaમૃત્યુનું માહાત્મ્ય નામના એક પુસ્તકમાંથી કેટલાક અંશ હમણાં અચાનક વાંચવામાં આવ્યા. ડોસા સાવ ઘરડા થઈ ગયા હોય દવાઓ ચાલતી હોય, ઘરના સભ્યો કંટાળી ગયા હોય, ડોસો મરે તો સારું તેવા મતલબના વાક્યો અંદર લખેલા હતા. પણ એમાં મહાન લેખકનો લખેલો એક ફકરો વાંચી ચમકી જવાયું કે કેવું મનઘડંત લખે છે? શબ્દો એવા વાપરે છે કે વાંચનાર જો વિચારે જ નહિ તો કેવી ખોટી માન્યતા ઘર કરી જાય? ચાલો લેખકે લખેલા ફકરાભાઈને શબ્દશઃ નીચે ઉતારુ.

“ઘરનાં બધાંયની પ્રબળ ઇચ્છા હોય કે, ડોસાનું શરીર છૂટે તો સારું. ડોસાને પણ બંધનરૂપ બનેલા શરીરથી છૂટવાની ખૂબખૂબ ઇચ્છા હોય, પરંતુ તેને છોડાવે કોણ ? પશ્ચિમના દેશોમાં તો શારીરિક પીડાથી ભયંકર કષ્ટ પામતા માણસને ગોળીથી ઠાર કરી દેવાય છે. અગર તો ઝેર દઈને મારી નાખવામાં આવે છે. આને Mercy Death કહે છે. આપણા દેશમાં ડોસાને ઝેર આપીને કોઈ મારી નાખતું નથી. આવા Mercy Deathનો પ્રયોગ કરવાની પણ કોઈની જિગર ચાલે નહિ.”

ઉપરનો ફકરો વાંચી પહેલી ઇમ્પ્રેશન એવી પડે કે પશ્ચિમના લોકો કેટલા ક્રૂર હોય છે કે ઘરડા લોકોને ગોળીથી ઠાર કરી દે. અને જાણે આ બધું લીગલ હોય તેમ લાગે છે. આ ગ્રેટ લેખકનું નામ હીરાભાઈ ઠક્કર છે. અગાઉ ‘કર્મનો સિદ્ધાંત’ નામના પુસ્તકમાં મનઘડંત બનાવટી ઉદાહરણ આપી ચૂક્યા છે. Mercy Death ને Euthanasia કહેવામાં આવે છે. અને તે ઘણા દેશોમાં લીગલ છે પણ એના અનેક નિયમો છે. એમ કાંઈ કોઈને ગોળી મારી દેવાય નહિ, અને ગોળી મારવું તો ક્યાંય લીગલ છે જ નહીં. અહીં એક સ્ટેટમાં કોઈ ડોસાએ એની વર્ષોથી બીમાર ડોસીને મારી નાખી હશે તો પોલીસે એને જેલમાં પૂરી દીધેલો. મર્સી ડેથ માટે કોર્ટમાં બહુ લાંબો જંગ લડવો પડતો હોય છે અને પરમિશન મળ્યા પછી સહેલો ઉપાય દર્દીને જે લાઇફ સપોર્ટ પર રાખ્યો હોય તે સિમ્પ્લી હટાવી લેવાના હોય છે. અમુક કેસમાં દર્દીને પહેલા Barbiturate આપી બેભાન કરી નાખવામાં આવે પછી Potassium Chloride આપી એનું હાર્ટ સ્ટૉપ કરવામાં આવતું હોય છે. એકદમ પેએનલેસ ડેથ હોય છે. છતાં અમેરિકાના બધા સ્ટેટમાં Euthanasia લીગલ નથી.

ભારતમાં Euthanasia વિષે હજુ કોઈ પ્રોપર કાયદો છે નહિ. Passive euthanasia ભારતમાં લીગલ છે. ૩૭ વર્ષ કોમામાં રહેલી મુંબઈની અરુણા શાનબાગના કેસ પછી સુપ્રીમ કોર્ટે  Passive euthanasia ને છૂટ આપી છે, એમાં ખાલી લાઇફ સપોર્ટ હટાવી લેવાના હોય છે. તે પણ હાઇકોર્ટની પરમિશન લેવી પડે. તામિલનાડુના અમુક જિલ્લાઓમાં ગેરકાયદે હોવા છતાં ઘરડા બીમાર લોકોને મારી નાખવામાં આવે છે તેને Thalaikoothal કહે છે. ગાયનું દૂધ પિવડાવતી વખતે નાક બંધ કરી શ્વાસ રૂંધી, તેલમાં નવડાવી, ઝેર આપી, માથે પુષ્કળ ઠંડુ પાણી રેડી બૉડી ટેમ્પરેચર એકદમ ઘટાડી હાર્ટ ફેઇલ કરી, પુષ્કળ નળિયેર પાણી પિવડાવી કીડની ફેઇલ કરી ક્રુરતાપુર્વક મારી નાખવામાં આવે છે. કદાચ આ બધું હીરાભાઈ ઠક્કરને ખબર નહિ હોય.

અમેરિકા જોયા વગર, જાણ્યા વગર ભારતના લેખકો પુષ્કળ ગપ્પા મારતા હોય છે. સામાન્ય જન સાચું માની લે કારણ લેખક બહુ મોટી પ્રતિષ્ઠા મેળવી ચૂક્યા હોય છે. અહીં પણ એક જ સ્ત્રી કે પુરુષ સાથે ૫૦-૬૦ વર્ષ લાંબું સુંદર લગ્નજીવન વિતાવતા વૃદ્ધ કપલ જોવા મળે છે. અહીં પણ બીમાર પત્નીની સેવા કરતા પતિદેવો મેં જાતે જોયા છે. અહીં પણ માબાપની સેવા કરતા સંતાનો જોવા મળે જ છે. આશરે ૪૦ લાખ અમેરિકન કુટુંબ ત્રણચાર પેઢીનાં(દાદા, દાદી, પુત્ર પૌત્રાદી) મેમ્બર એક જ ઘરમાં સંયુક્ત રહે છે. દરેકનું પોતાનું કલ્ચર છે. આપણું જ કલ્ચર મહાન બીજાનું ખરાબ તેવું પણ નાં હોય.

હવે અહીં અમેરિકનોમાં બાળકો પેદા કરવાને બદલે ઇથિયોપિયા જેવા ગરીબ આફ્રિકન દેશોમાંથી બાળકો દત્તક લઈને પારકાને પોતાના બનાવવાનો જબરદસ્ત રિવાજ શરુ થયો છે. આ માનવતા નથી તો શું છે? એમાં આપણા ગુજરાતીઓ પણ જરાય પાછળ નથી. મારા એક ગુજરાતી ડૉક્ટર મિત્રનો પુત્ર અમેરિકન-જાપાનીઝ છોકરી સાથે પરણ્યો છે અને ઇથિયોપિયાથી બાળકો દત્તક લઈ આવ્યો છે. ગુજરાતી ડોક્ટરદાદા પ્રેમથી એમને રમાડે પણ છે. ભગવાનમાં નહિ પણ માનવતામાં માનતા ખરા અર્થમાં વસુધૈવ કુટુમ્બકમ જીવતા આ ગુજરાતી ફૅમિલીને પ્રણામ કરવા પડે.

કોઈપણ જાતના પુરાવા વગર લખતા ગપોડી લેખકોને હવે ઓળખી લેવા જોઈએ.

આવો બીજો દાખલો નવા લેખમાં ફરી આપીશ..

સીમા અને શેનોન પરણી ગયા, Seema Weds Shannon

સીમા અને શેનોનનાં લોસ એન્જેલસમાં ૧૩ જુલાઈ ૨૦૧૩ નાં રોજ હિંદુ વિધિ પ્રમાણે થયેલા સજાતીય લગ્ન ૫૦૦ જણાએ હોંશભેર માણ્યા.

indianlesbiancoverpage_b5c_650x310-145-757631374087875_indianlesbianwedding6-21374090691_ShannonSeemaWedding-1329-670x446-3ShannonSeemaWedding-748-4ShannonSeemaWedding-779-5ShannonSeemaWedding-866-8ShannonSeemaWedding-978-9ShannonSeemaWedding-1099-10ShannonSeemaWedding-1281ShannonSeemaWedding-1498ShannonSeemaWedding-1598ShannonSeemaWedding-1635ShannonSeemaWedding-15341ShannonSeemaWedding-1658ચાલો હવે બધા આશીર્વાદ આપો..