Category Archives: Psychology

બળ્યું આ અંગ્રેજી સિનેમામાં ગાળો બહુ આવે. (રેડબડ ગામગપાટા, ન્યુ જર્સી-૬)

imagesZ4CSOFMQબળ્યું આ અંગ્રેજી સિનેમામાં ગાળો બહુ આવે. (રેડબડ ગામગપાટા, ન્યુ જર્સી-૬)

અમારી રેડબડ ગામગપાટા મંડળી ના નવોદિત અને હંગામી સભ્ય સુરેશ ભાઈને ટાઈમ પાસ કરવો અઘરો થઈ પડે છે. એમના દીકરાએ નેટફ્લીક્સ ની સુવિધા લીધેલ છે અંગ્રેજી ફિલ્મો ઑનલાઈન જોઈ શકાય તે માટે. એમાં અમુક હિન્દી ફિલ્મો પણ જોવા મળી જાય છે. મહામંદીના મોજામાં સપડાયેલા અમેરિકામાં Netflix નો ધંધો ઊલટાનો વધેલો.. કારણ જોબ વગરના લોકો ઘેર બેઠા ફિલ્મો વધુ જુએ. સુરેશભાઈ પણ ડેસ્કટોપ પર બેઠા બેઠા મનપસંદ અંગ્રેજી હિન્દી ફિલ્મો ટાઈમ પાસ કરવા જોતા. આજે ફિલ્મોની વાત કરતા કહે સાલું આ અંગ્રેજી ફિલ્મો એકલા જ જોવી પડે એમાં વાતે વાતે લોકો ગાળો બોલતાં હોય છે. હવે તો અમુક હિન્દી ફિલ્મોમાં પણ ગાળો બોલતાં હોય છે. ખાસ તો બેન્ડીટ ક્વીન ફિલ્મમાં ગાળો વધુ આવી ત્યાર પછી તે ટ્રેન્ડ વધતો જાય છે. અંગ્રેજી ફિલ્મોમાં સુરતી જેવું છે ગાળ બોલે પણ બોલનાર ને જ ખબર નાં હોય કે ગાળ બોલાઈ ગઈ છે. પાર્ટ ઓફ ભાષા જેવું..

અંબુકાકા કહે સાચી વાત છે ઘરમાં નાના હોય કે પુખ્ત પણ આપણા સંતાનો બેઠા હોય અને આવી ગાળો ફિલ્મો જોતા આવે તો ભારતીય માનસિકતા મુજબ સંકોચ પેદા થતો હોય છે. જો કે તેવો સંકોચ અહીં ઊછરેલી કે અહીંની મૂળ પ્રજાને થાય નહિ.

મેં કહ્યું સાચી વાત છે કાલે માઈકલ ડગ્લાસનું એક ડ્રગ સામે વૉર વિશેનું એક મુવી જોતો હતો તેમાં માઈકલ ડગ્લાસ પોતે સેનેટર હોય છે અને ડ્રગ સેવન અમેરિકામાં વધતું જાય છે તે સામે લડાઈ લડતો હોય છે પણ એની પોતાની દીકરી જ ડ્રગના રવાડે ચડી ગઈ હોય છે. આ એની દીકરી એક સંવાદમાં નશાની હાલત માં એના પિતાને જ fu_k you કહેતી હોય છે. મતલબ તમે કહ્યું તેમ સુરતી જેવું ગાળ બોલાવી સામાન્ય ગણાય. એનો કોઈ છોછ જ નાં હોય. હમણાં અમારા એક મિત્રનાં નાના દીકરાએ નિર્દોષ ભાવે એમને fu_k શબ્દનો અર્થ પૂછેલો, હવે આપણે સમજી શકીએ છીએ કે કેવા ક્ષોભ માં મુકાય ગયા હશે?

એટલા માં શાંતિ ભાઈ આવી પહોંચ્યા, તે કહે કેમ આજે શું વાત છે ગાળ પુરાણ માંડ્યું છે કે શું? બધા હસી પડ્યા. કમુબેન કહે અમારા જમાનામાં બૈરા ઉઘાડી ગાળો ક્યારેય બોલતાં નહિ. ઝઘડો થાય કોઈ બીજા બૈરા જોડે તો મારી હૉચ(શોક્ય નું અપભ્રંશ) શબ્દ ગાળનાં પર્યાય રૂપે વપરાતો. નિકિતા કહે વડીલો હવે તો ઇન્ડિયા માં પણ કૉલેજમાં છોકરીઓ ગાળો બોલતાં શીખી ગઈ છે. જોકે છોકરાઓ કરતા એનું પ્રમાણ ઓછું હોય અને છોકરાઓની હાજરીમાં ઓછું હોય.

મેં કહ્યું મહિલા મિત્રો એમના સમૂહમાં પુરુષોની ગેરહાજરીમાં ગાળો અને કહેવાતી વલ્ગર વાતોની મજા અવશ્ય માણતી હોય છે, પણ પુરુષોની હાજરી હોય તો ચુપ.. પછી શાંતિ ભાઈને સંબોધીને કહ્યું કે ભઈલા તમારું આ ગાળો પાછળનું વિજ્ઞાન શું કહે છે?

શાંતિ ભાઈ એ ‘ગાળ પુરાણ’ શરુ કર્યું, “ ગાળો તમે જુઓ ગુજરાતી હોય હિન્દી હોય કે અંગ્રેજી હોય એમાં એક તો સ્ત્રી પુરુષના ગુપ્ત અંગો સૂચક હોય છે. બીજી ગાળો માં કોઈ વ્યક્તિ પ્રત્યે કે તેની સાથે કામ ક્રિયા દર્શાવતા શબ્દો રૂપે હોય છે. સેક્સને એક તો ખરાબ ગણવાનું શરુ થયું એટલે તે દર્શાવતા શબ્દો બેડ વર્ડ તરીકે ગણાવા લાગ્યા. સેક્સ એક તો જાહેરમાં કરવાની વસ્તુ છે નહિ તે એકાંતમાં ગુપ્ત રૂપે કરવાની વસ્તુ છે એટલે તે ક્રિયા સૂચક શબ્દો જાહેરમાં બોલવા અસભ્ય ગણાવા લાગ્યું અને છેલ્લે કોઈને સંબોધીને એની સાથેની સેક્સ ક્રિયા સૂચક શબ્દમાં એના ઉપર આધિપત્ય જમાવવાની ભાવના પણ ભેગી ભળેલી છે. આધિપત્ય જમાવી સેક્સ જેવું કહેવાતું ખરાબ કર્મ કરીશ એવો અર્થ એમાં હોય છે. દાખલા તરીકે કોઈને માબેન સમાણ ગાળ દઈએ એનો મતલબ તારા પ્રિય અને સન્માન જનક પાત્ર(માં અને બહેન) ઉપર આધિપત્ય જમાવીને એમની સાથે સેક્સ જેવું હીન કામ કરીશ.”

મેં કહ્યું વાતો તમારી સાચી છે. અંગ્રેજીમાં તો આવું હીન કામ તારી જાત ઉપર કે જાત સાથે જ કર એવી ગાળ પણ બોલાય છે( fu_k યોર સેલ્ફ)..

શાંતિ ભાઈ કહે અંગ્રેજીમાં બેડ વર્ડ્ઝ ની સ્ટોરી Angles અને Saxons જાતો સાથે શરુ થયેલી પાછળથી એમાં Vikings ભળ્યા. જર્મેનિક અને સ્કેન્ડીન્વિયન ટ્રાઈબ્સ વેલ્સ અને આયરલેન્ડ પર ચડી આવેલા(ઈ. સ. ૪૫૦-૧૦૫૦). ગ્રેટ બ્રિટન પહેલા Angle-Land તરીકે અને પછી અપભ્રંશ થઈને England તરીકે ઓળખાવા લાગ્યું. Angles અને Saxons જૂની જર્મન ભાષા બોલતાં. હાલના કહેવાતા ગંદા શબ્દો તેઓ રોજીંદી ભાષામાં વાપરતાં અને તેને વલ્ગર મનાતું જ નહિ. સન. ૧૦૬૬ પછી નોર્મન ફ્રેંચ લોકોએ Anglo-Saxon ઈંગ્લેન્ડ પર કબજો જમાવ્યો. નોર્મન ફ્રેંચ લોકોએ એમની જૂની ફ્રેંચ ભાષાને રાજ દરબારની અને ઉચ્ચ લોકો ભાષા તરીકે પ્રસ્થાપિત કરેલી. ફ્રેંચ ભાષા વોવેલ એટલે કે સ્વર વડે વધુ શણગારેલી કાવ્યાત્મક જાણે ગીત ગાતા હોઇએ તેવી મધુર હોય છે. જૂની રાજકુમાર ની હીર-રાંઝા ફિલ્મ જોઈ હોય તેને ખ્યાલ હશે તેમાં કાવ્યાત્મક ગાતા હોઈ એ તેવા સંવાદ હતા. એટલે ફ્રેંચ લોકોના આવા કાવ્યાત્મક ભાષા સાંભળી ટેવાયેલા કર્ણપટલ ઉપર જૂની જર્મન બોલતાં Anglo-Saxon લોકોની ભાષા અથડાતી ત્યારે તે સખત અને વલ્ગર લાગતી. નોર્મન લોકો જર્મેનિક પ્રોટો ઇંગ્લિશ સાથે ૩૦૦ વર્ષ બાખડ્યા. નોર્મન લોહી ધરાવતા ઈંગ્લેન્ડ ના રાજા ૧૪ મી સદી સુધી ઇંગ્લિશ(મિડલ ઈંગ્લીસ) બોલતાં નહિ. નવી ધરતી ઉપર એમની Melodic French સ્થાપિત કરવા નોર્મન લોકોએ બહુ પ્રયત્નો કરેલા પણ બહુ થોડા એંગ્લો-સેક્સોન લોકો તે શીખી શકે લા. એમણે એમની પ્રોટો ઇંગ્લિશ બોલવા નું ચાલુ જ રાખેલું જે સખત અને સીધી હતી. ફ્રેંચ લોકો ઈંગ્લેન્ડ માં ભાષા યુદ્ધ છેવટે હાર્યા, અંગ્રેજીમાં ઘણા બધા શબ્દો ફ્રેંચ માંથી આવેલા જ છે પણ મોટા ભાગે તે જર્મેનિક ભાષા છે. પણ ફ્રેંચ લોકો રોજીંદી ભાષા માંથી સેક્સને લગતા શબ્દો ને ખરાબ ગણવામાં અને નદારદ કરવામાં સફળ થયા, ૨૦મી સદી સુધી ડીક્ષનેરીમાંથી પણ નદારદ કરવામાં આવેલા. ગુપ્ત અંગ અને કામક્રીડા દર્શાવતા શબ્દો ગ્રાસ રૂટ લેવલે જોડાયેલા હોય છે માટે હજુ આપણી સાથે છે.”

શાંતિ ભાઈનું ગાળ પુરાણ શરુ થાય તે પહેલા જ કમુબેન ચાલ્યા ગયેલા. જોડે પરાણે નિકીતાને પણ ખેંચી ગયેલા. જો કે અમે સ્વસ્થ ચર્ચા કરતા હતા. છતાં થોડી ઘણી માનમર્યાદા જરૂરી પણ હોય છે. મેં શાંતિ ભાઈને પૂછ્યું આ બધી ગાળો નાં ગ્રાંડ ડેડી જેવો Fu_k શબ્દ શે માંથી આવ્યો હશે? અને એવા બીજા શબ્દો વિષે કશું નવું જાણતા હો તો કહો ને?

શાંતિ ભાઈ કહે, ‘ઓલ્ડ જર્મન ભાષામાં ‘fokken’ શબ્દ હતો તેનો અર્થ thurst, strike થતો અને એનું વિસ્તૃત થઈને copulate  માં પરિણમ્યો.. આશરે ૧૫૦૩માં પ્રિન્ટ માં આવ્યો તે પહેલા કોઈ લખવામાં નહોતું વાપરતું. Dunbar નામના કોઈ કવિ એ એની કવિતા માં copulation માટે fukkit શબ્દ વાપરે લો.’

મેં કહ્યું એવા બીજા કોઈ શબ્દો વિષે માહિતી આજે આપી જ દો.

શાંતિ ભાઈએ આગળ ચલાવ્યું, ‘CU_T શબ્દ Old Norse “Kunta” પરથી આવ્યો છે, એનો અર્થ સ્ત્રીનું ગુપ્તાંગ થાય. CU_T શબ્દ પ્રિન્ટ મીડિયામાં જુનો છે, FU_K  શબ્દ કરતા પણ ૩૦૦ વર્ષ પહેલાથી  ડર્ટી શબ્દ તરીકે સન ૧૨૩૦ થી લખાય છે. જો કે હાલ cu_t શબ્દ બહુ ઓછો વપરાય છે. તેવી રીતે CO_K શબ્દ જૂની જર્મન ભાષાના kok અથવા kukko પરથી આવ્યો છે. લેટીનમાં COCO શબ્દ પણ છે, તમામ નો અર્થ કૂકડો થાય. ફ્રેન્ચમાં પણ કુકડા માટે Coq અને જૂની ઈંગ્લીશમાં Cok શબ્દ છે જે મરઘા માટે વપરાય છે. વહેલી સવારે ઉન્નત થઇ ચુકેલા રમતિયાળ અંગ સાથે જગાડવાની આલબેલ પોકારતા મોજીલા પક્ષી ના નામ સાથે ઉત્ક્રાંતિ પામતા CO_K શબ્દને બહુ વાર લાગી હોય તેમ લાગતું નથી. જેમ પુરુષ જનનાંગ ને કુકડા સાથે સરખાવ્યું છે તેમ સ્ત્રીના જનનાંગ ને બિલાડી સાથે સરખાવવામાં આવેલું છે. Old Norse-Old German ભાષામાં Puss નો અર્થ બિલાડી Cat થાય છે. અને Pusa નો અર્થ પાઉચ થાય છે. આજે પણ કેથરીન માટે નીક નેમ તરીકે kat અને kitty વપરાય છે. આમ soft furry little pets માટે વપરાતો શબ્દ puss અને પાઉચ માટે વપરાતો pusa સ્ત્રીના બે પગ વચ્ચે રહેલી  soft furry પાઉચ જેવી જગ્યા માટે PUS_Y બની ગયો..

અંબુકાકા હસતા હસતા કહે ગાળો આગ માં ઘી હોમવાનું કામ પણ કરે છે અને દીવામાં થી તેલ કાઢી લેવા નું પણ કામ કરતી હોય છે. મેં કહ્યું કાકા કાઈ સમજાય તેવું બોલો. તો અંબુકાકા કહે કોઈની સાથે ઝઘડો થાય ત્યારે એકબીજાની હાજરીમાં ગાળો દઈએ તો આગ માં ઘી હોમવાનું કામ થાય ઝઘડો વધી પડે. ઘણીવાર ગાળ જ ઝઘડાનું મુખ્ય કારણ બની જતું હોય છે.

મેં કહ્યું અને દીવામાં થી તેલ કાઢી લેવા નું કામ કઈ રીતે થાય?

અંબુકાકા ઉવાચ- જુઓ કોઈના પર ગુસ્સો ભરાયો હોય અને તે હાજર હોય નહિ કે સંબંધ એવો હોય કે ઝઘડો કરી શકાય તેવું હોય નહિ તો એની ગેરહાજરીમાં એને ગાળો દઈ દેવાની કેથાર્સીસ થઈ જાય ગુસ્સો બહાર નીકળી જાય દીવામાં થી તેલ નીકળી જાય એટલે દીવો ઓલવાઈ જાય. ગુસ્સો શાંત પડી જાય..

imagesFCY31G0Sઅમે બધા હસી પડ્યા.. મેં કહ્યું ઉપાય સારો છે. આમ આજે ગાળ પુરાણ વાંચી બધા છુટા પડ્યા.

ગપોડી લેખકો (રેડબડ ગામગપાટા, ન્યુ જર્સી-૫)

ગપોડી લેખકો (રેડબડ Jawaharlal_Nehru_and_his_family_in_1918ગામગપાટા,  ન્યુ જર્સી-૫)

થોડા દિવસથી અમારી ગામગપાટા મંડળીમાં સુરેશભાઈ ઉમેરાયા છે, છ મહિના માટે ઇન્ડીયાથી અહીં દીકરાના ઘેર રહેવા આવ્યા છે. દેશમાં તો નવરા હોય એટલે મિત્રો મળી જાય, પોળના નાકે બે ચાર મિત્રો ભેગા થઈ જાય થોડું આમતેમ ચાલી આવે એટલે સમય પસાર થઈ જાય, અથવા ઘરના ઓટલે બેઠા હોય ત્યાં બીજા અડોશપડોશનાં લોકો આવીને બેસે એટલે વાતોના દોર માં સમય ક્યાં જતો રહે ખબર જ ના પડે. પણ અહીં સમય પસાર ક્યાં કરવો? અહીં કોઈ નવરું હોય નહિ. પુત્ર અને પુત્રવધૂ બંને નોકરી કરતા હોય, બાળકો સ્કૂલમાં હોય કે કૉલેજમાં હોય તે પણ એમની કંપનીમાં મસ્ત હોય, વળી અહીં ગુજરાતી છાપાં પણ મળે નહિ અને મળે તો એક ડોલર આપવો પડે એટલે ગણતરી મનોમન થઈ જાય કે ૬૦ રૂપિયાનું એક છાપું? એટલે ખરીદવાનું મન થાય નહિ. થોડા દિવસ તો ઘરમાં ભરાઈ રહ્યા પણ સ્ટ્રીટમાં લોકોને ચક્કર મારતા જોઈ તે પણ બહાર આવ્યા અને ધીમે ધીમે અમારી મંડળીમાં જોડાઈ ગયા.

સુરેશભાઈ બહુ વિદ્વાન માણસ છે. એમની વાતોમાં ઓલ્ડ સ્કૂલની વાતો આવી જાય પણ નવું વિચારવા અને સ્વીકારવા પણ એટલા જ પ્રયત્નશીલ છે. આજે આવીને થોડી આમતેમ વાતો પછી કહે,

સાલું મોટા લોકોના મોટા પોલ હોય નહિ?

કેમ શું થયું? મેં સવાલ કર્યો.

‘અરે ! આ દીકરાએ કમ્પ્યુટર ઉપર સર્ચ કરીને ગુજરાતી છાપા વાંચવાનું શીખવ્યું છે તેમાં એક લેખ વાંચ્યો તો એમાંની વાતો વાંચી દુખદ આશ્ચર્ય ઉપજ્યું.’

‘હા ! પણ માંડીને વાત કરો તો ખબર પડે.’

‘અરે ! ભાઈ આ સુનંદા થરૂરે આપઘાત કર્યો તે વિષે લેખ વાંચતો હતો એમાં મોટા કહેવાતા લોકોના લફરાં વિષે વાંચ્યું તો જરા દુઃખ થયું. એમાં આપણા માજી મરદ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી અને એમના પતિ ફિરોજ ગાંધી કેમ છુટા પડી ગયા તેનું કારણ જાણી દુઃખ થયું.’

‘હું ખડખડાટ હસી પડ્યો, તમે જવાહરલાલ નહેરુના પત્ની કમલા નહેરુ અને ફિરોજ ગાંધીના અફેરની વાત વાંચી લાગે છે ખરું ને?’

‘હા ! તમને કઈ રીતે ખબર પડી ગઈ? કમલા નહેરુ અને ફિરોજ ગાંધીનો અફેર ઈન્દિરાજી જોઈ ગયા એમાં બંને પતિપત્ની છુટા પડી ગયા સાલું માનવામાં નથી આવતું.’

મેં કહ્યું, મને ખબર પડી ગઈ કારણ મેં પણ તે લેખ વાંચેલો જ છે અને માનવામાં નથી આવતું ને તો માનશો જ નહિ કારણ આખી વાત જ મહાગપ્પું છે.’

‘અરે ! ગપ્પું હોતું હશે અમથું છાપામાં છાપ્યું હશે? અને છાપું પણ બહુ પ્રસિદ્ધ છાપું છે, માતબર છાપું છે.’

‘મેં કહ્યું છાપામાં આવે એટલે બધું સાચું જ હોય તેવું કેમ માની લેવું? છાપાનો તંત્રી નવરો હોય નહિ કે બધા આર્ટીકલ પૂરતી ચકાસણી કરીને છાપે. બહુ ઓછા લેખકો પુરતું રીસર્ચ કરીને લખતા હોય છે બાકી મોટાભાગના તો ગપોડી હોય છે.’

‘તો આખી વાત ખોટી છે?’

‘મેં કહ્યું તદ્દન ખોટી છે. થોડા દિવસ ઉપર વૈભવ અમીન નામના એક યુવાન અને જાગૃત એવા ફેસબુક મિત્રે આના વિષે એક નોટ મૂકી હતી. અને પુરતું રીસર્ચ કરીને કારણો પણ આપેલા કે આખી વાત લેખકે ઉપજાવી કાઢેલી છે. તે વાંચીને અમુક બાબતોની મને ખબર હતી છતાં મેં જાતે એની ચકાસણી કરેલી.imagesKRCGXJWC

‘સુરેશભાઈ બોલ્યા સાબિતી શું કે આ વાત ગપ્પ છે?’

‘મેં કહ્યું તમે આ વાત સાચી છે તેની સાબિતી આપો, મારી પાસે સાબિતી માંગો છો પણ પેલા લેખક જોડે માંગવાના ખરા?’

નિખાલસ સુરેશભાઈ હસી પડ્યા કહે વાત તો વાજબી છે સાબિતી માંગવી હોય તો બંને જોડે માંગવી પડે અથવા જાતે ખાતરી કરી લેવી પડે.’

‘મેં કહ્યું ચાલો જવાદો હું તમને વિચારવા માટે મજબુર કરું, મને ખબર તો હતી જ કે કમલા નહેરુ ઈન્દીરા અને ફિરોજનાં લગ્ન પહેલા મૃત્યુ પામેલા પણ વૈભવ અમીનની પોસ્ટમાં એની સાલ સુદ્ધાં વાંચવા મળી અને મેં પણ પછી ખાતરી કરેલી. કમલા નહેરુ ૨૬ ફેબ્રુઆરીનાં રોજ ૩૬ વર્ષની યુવાન ઉંમરે ૧૯૩૬મા મૃત્યુ પામેલા, ઈન્દીરા ગાંધી અને ફિરોજ ગાંધીના લગ્ન ૧૯૪૨મા થયેલા, ૧૯૪૪માં રાજીવ ગાંધીનો જનમ, ૧૯૪૬માં સંજય ગાંધીનો જન્મ થયેલો, હવે તમે જ વિચારો કે કમલા નહેરુનું ભૂત અફેર કરવા ફિરોજ ગાંધી પાસે આવતું હશે કદાચ. કમલા નહેરુના અવસાનના ત્રણ વર્ષ પહેલા ૧૯૩૩માં ફિરોઝ ગાંધીએ ઈન્દીરા સાથે પરણવાની ઈચ્છા વ્યક્ત કરેલી પણ ઈન્દીરા હજુ નાના છે તેમ કહી કમલા નહેરુએ ના પાડેલી. કમલા નહેરુ ટી.બી.નાં દર્દી હતા અને તેમાં યુવાન વયે મૃત્યુ પામેલા. ૧૯૫૨માં ફિરોઝ ગાંધી ઉત્તરપ્રદેશના રાયબરેલી વિસ્તારમાંથી ચૂંટાયા ત્યારે એના ચૂંટણી પ્રચારની દોર ઈન્દિરાજીએ સંભાળેલી. નહેરુના સમયમાં થયેલા આર્થિક સ્કેન્ડલ જાહેર કરવામાં ફિરોઝ ગાંધી બહુ આગળ પડતા હતા, તે સમયે તેમના સસરા જવાહરલાલ વડાપ્રધાન છે તેની શરમ તેઓ રાખતા નહિ. લેખમાં બીજું પણ એક મહાગપ્પ મારેલું છે કે રાજીવ ગાંધીના જન્મ પછી ઈન્દીરા અને ફિરોઝ ગાંધી છુટા પડી ગયેલા પછી સંજય ગાંધીનો જન્મ થયો તો સંજય ગાંધીનો પિતા કોણ? ૧૯૫૨માં ફિરોઝ ગાંધી લોકસભાની ચૂંટણી જીત્યા હતા તે ચૂંટણી પ્રચારની લગામ ઈન્દિરાજીનાં હાથમાં હતી. મતલબ ત્યાં સુધી તો બંને સાથે જ હતા.’

સુરેશભાઈ કહે સાલું આ તો ખરાબ કહેવાય આપણે કોંગ્રેસના કે નહેરુ-ગાંધી ફેમિલીના વિરોધી હોઈએ છતાં નૈતિક રીતે આવા કીચડ ઉછાળવા સારું તો નાં જ કહેવાય.

એજ તો પ્રોબ્લેમ છે ભારતમાં, વ્યક્તિ પૂજા અને વ્યક્તિ વિરોધ બે વચ્ચે પ્રજા રમ્યા કરતી હોય છે, ગ્રે શેડ તો કોઈને દેખાતા જ નથી. પશ્ચિમની સંસ્કૃતિ વિષે પણ આપણા લેખકો વગર જોયે જાણે આડેધડ ભરડે રાખતા હોય છે જે અહી આવીને અહીંની લાઈફસ્ટાઈલ જોયા અને અનુભવ્યા પછી ખબર પડી કે કેવા ગપ્પ હાંકે રખાતા હોય છે. એવું જ ભારત વિષે પણ લખાતું હોય છે કે ભારત એટલે જાદુગરો, મદારીઓ અને સાપોનો જ દેશ છે.

હવે અંબુકાકાનો બોલવાનો વારો હતો. અંબુકાકા કહે મારી એક રસપ્રદ સ્ટોરી સાંભળો, ‘ હું ૧૯૭૧માં બરોડા અગિયારમાં ધોરણમાં ભણવા આવ્યો ત્યાં સુધી ચા બિલકુલ પીતો નહોતો. અમે નાના હતા ત્યારે ઘરમાં ફક્ત મારા માતુશ્રી એકલા જ ચા પીતા હતા મારા પિતાશ્રી પણ ચા પીતા નહોતા. અમે ક્યારેક ચા પીવાની ઈચ્છા જતાવતાં પણ મારા ફાધરને ચા અમે નાના બાળકો પીએ તે ગમતું નહિ માટે અમને ચા મળતી નહિ. એકવાર પિતાજીએ એમની પાસે રહેલું એક આઝાદી પહેલાનું પ્રકાશિત થયેલું પુસ્તક વાંચવા આપ્યું એમાં રહેલા ખાસ પાનાઓ ઉથલાવવાના હતા. એમાં લેખકે લખ્યું હતું કે અંગ્રેજો એમના મડદા સાચવવા કોફીન પેટીમાં લાશની આજુબાજુ સુકી ચા ભરતા હતા પછી તે મડદા દફનાવી દેવામાં આવે ત્યારે પેલી ચા કાઢી લેવામાં આવે અને બઝારમાં વેચવા મુકાઈ જાય માટે આવી મડદા સાચવવા વપરાયેલી ચા પીવાય નહિ. આવું વાંચી હું તે સમયે છક થઈ ગયેલો અને સાચું માની લઈને કદી ચા પીવાની ઈચ્છા જતાવતો નહિ. પુસ્તકમાં લખ્યું હોય એટલે સાચું જ હોય તેવી એક માનસિકતા બંધાઈ જતી હોય છે. મારા પિતાજીએ એમની આખી જીંદગીમાં ચા પીધી નહોતી. પણ હું બરોડા ભણવા આવીને મિત્રોને વાદે ચા પીતો થઈ ગયેલો. હવે આજે મને થાય છે કે તે સમયે પણ લેખકો આવા જુઠ લખતા જ હતા.’

અમ્બુકાકાની વાત સાંભળી મને નવાઈ લાગી ચા પીવી સારી નહિ તેવું સાબિત કરવા લેખકે એ જમાનામાં પણ કેવું જુઠ લખ્યું હશે? ટૂંકમાં લખેલું બધું સાચું જ હોય તેવું માની લેવું વધુ પડતું છે.

આમ ગપોડી લેખકોની વાતો કરતા કરતા આજે અમે છુટા પડ્યા.

એક સારું ભણે અને બીજો નહિ. એક માતાની વ્યથા (રેડબડ ગામગપાટા, ન્યુ જર્સી-૪)

imagesLN4U7TBBએક સારું ભણે અને બીજો નહિ. એક માતાની વ્યથા (રેડબડ ગામગપાટા, ન્યુ જર્સી-૪)

 આજે ગામગપાટા મંડળીમાં શાંતિભાઈ આવે તો ગહન ચર્ચા કરવી હતી, પણ શાંતિભાઈ જરા મોડા પડ્યા હતા. શાંતિભાઈ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના અને ત્યાં કોઈ સ્કૂલમાં હાયર સેકન્ડરીમાં મનોવિજ્ઞાન ભણાવતા હતા. શાંતિભાઈ આવ્યા એટલે મેં તરત સવાલ કર્યો.

શાંતિભાઈ,  ‘એક ઘરમાં બે દીકરા હોય એક સારું ભણે સારી જૉબ લાગી જાય અને બીજો હોશિયાર હોવા છતાં ભણવામાં થોડો પાછળ પડે એટલે માબાપને ચિંતા થાય, એમની ઉછેરમાં ક્યાં ભૂલ થઈ તેવું વિચારતા હોય છે. પણ આમ થવાનું શું કારણ?’

પાંચ આંગળીઓ સરખી હોય ખરી? શાંતિભાઈ ધડામ દઈને બોલ્યા.

મેં કહ્યું શાંતિભાઈ શાંતિથી ઉત્તર આપો યાર મારે જરા વિગતથી જાણવું છે.

શાંતિભાઈ હસી પડ્યા, કહે શાંતિભાઈને શાંતિ રાખવાનું કહેવું પડે છે કેવો જમાનો આવ્યો છે નહિ?

મૂળ શાંતિભાઈ નામ પ્રમાણે શાંતિ રાખવાવાળા જ છે પણ મને એમને ચીડવવાનું ગમે એટલે કાયમ વાતે વાતે શાંતિ રાખો શાંતિ રાખો એવું કહ્યાં કરું. ઘણીવાર મને કહે મેં સવિતા રાખી છે હવે શાંતિ માટે જગ્યા નથી અને બે રાખું તો મારે જવું ક્યાં?

મેં હસતા હસતા કહ્યું શાંતિભાઈ એક ઓળખીતા બહેનની ફરિયાદ છે, એમને બે દીકરા છે. મોટો ભણીને કમ્પ્યુટર એન્જીનીયર બની યુ.કે.માં સારી જૉબ કરે છે. બીજો દીકરો આમ હોશિયાર હોવા છતાં ભણવામાં દસમાં ધોરણ પછી અચાનક પાછળ પડી ગયો છે. એને એન્જીનીયર બની પરદેશ જવું છે યુ.કે. અથવા અમેરિકા. માબાપ પૈસા ખર્ચવા સક્ષમ છે પણ એનું ભણવાનું દિવસે દિવસે કથળતું જાય છે. હવે આવા નબળા પર્ફૉર્મન્સ સાથે પરદેશ કઈ રીતે મોકલવો? પૈસા હોય પણ નાહક બરબાદ કરવા માટે થોડા હોય?

શાંતિભાઈ મૂળ શિક્ષક જીવ એકવાર કેસેટ શરુ થાય પછી બંધ કરવી મુશ્કેલ, પણ એમાંથી જાણવાનું ખૂબ મળે ઘણીવાર કેસેટ બંધ નાં થાય તેવું ઇચ્છીએ પણ ખરા.

શાંતિભાઈએ શરુ કર્યું, ‘ ઘણા દાખલામાં એવું બને છે કે સ્કૂલ લેવલ સુધી છોકરાં બહુ હોશિયાર હોય છે. પણ કૉલેજમાં આવ્યા પછી ડલ પડી જતા હોય છે. ઘણાને એની શરૂઆત દસમાં ધોરણ પછી પણ થઈ જતી હોય છે. મતલબ છોકરાં હોશિયાર તો છે જ પણ કૉલેજમાં કશું એવું થાય છે કે છોકરાં ભણવામાં પાછળ પડી જાય છે. ઘણા બધા કારણો હોઈ શકે. એક તો બાળકો યુવાનીના દ્વારે આ સમયે ટકોરા મારતા હોય છે તે સમયે શરીરમાં થતા હાર્મોનલ ફેરફાર બાળકોની માનસિકતા અસ્થિર કરી નાખતા હોઈ શકે. આ ફેરફાર ખાસ તો જાતીય આવેગો અને એના વિશેની અણસમજ બાળકોને સ્વાભાવિક અસ્થિર બનાવી દેતી હોય છે. જો કે ઘણા બાળકો આ બધું સહન કરી લેતા હોય છે અને ડગતા નથી તે લોકોના રિઝલ્ટમાં બહુ ફેરફાર જોવા મળે નહિ. આ બધું બાળકની માનસિકતા પર આધાર રાખતું હોઈ શકે છે. એટલે સ્કૂલમાં બહુ હોશિયાર ગણાતું બાળક કૉલેજમાં અસફળ રહેતું પણ જોવા મળતું હોય છે. બીજું સ્કૂલ અને કૉલેજનું આખું વાતાવરણ જુદું હોય છે, કૉલેજમાં સ્વતંત્રતા વધુ હોય છે. આમાં પણ બાળક સ્થિર મગજ ધરાવતું નાં હોય તો મિત્રોને રવાડે ચડી જવાનો ભય પણ રહેતો હોય છે. મિત્રો બહુ મોટો ભાગ ભજવતા હોય છે. એક વિદ્યાર્થી માટે સ્કૂલના સહાધ્યાયીઓ એમનો સમૂહ છે. અને મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા હોય છે. સમૂહ બહાર કોઈ ધકેલી દે તો એમનું મેમલ બ્રેન થ્રેટ અનુભવતું હોય છે. માટે સામાજિક સ્વીકાર મેળવવા માટે છોકારાઓ એમના ગ્રૂપના લીડરને અનુસરતા હોય છે અથવા એમના પ્રભાવમાં જીવતા હોય છે. હવે આ ગ્રૂપ લીડર જો સારો હોય તો બરોબર એના મિત્રોને વધુ સારું ભણવા પ્રેરી શકે અથવા પોતે રખડેલ હોય તો અવળે રસ્તે પણ ચડાવી શકે. માબાપે એમના સંતાનના મિત્રો કેવાં છે તેનું બહુ મોટું ધ્યાન રાખવું જરૂરી છે. ડોમિનન્ટ બગડેલા મિત્રો ભલભલાં હોશિયાર છોકરાને રિઝલ્ટમાં ધબડકો વાળવા કારણભૂત અવશ્ય બનતા હોય છે.’

મેં કહ્યું એ વાત સાચી મારો એક મિત્ર સ્કૂલમાં બે ધોરણ તે સમયની સગવડ મુજબ એક વર્ષમાં પતાવતો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું એમ ચાર ધોરણ એણે ફક્ત બે વર્ષમાં પતાવી દીધેલા પણ શહેરમાં ભણવા મૂક્યો ને મિત્રોને સંગે ફિલ્મો જોવાના રવાડે ચડી ગયો તે અગિયારમાં ધોરણમાં નાપાસ થયેલો.

હવે અંબુકાકાનો બોલવાનો વારો આવ્યો. અંબુકાકા કહે,  ‘સાચી વાત કહું તો બધા છોકરાં સાહેબ બની જશે તો પટાવાળી કોણ કરશે? પછી કહે મજાક કરું છું બાકી કોઈ માબાપ એવું નાં ઇચ્છે કે તેના સંતાન સાવ નિમ્ન કક્ષાની જૉબ કરે. પણ બધા છોકરાનું બુદ્ધિનું તત્વ સરખું ના હોય. બુદ્ધિ ના હોય તેવું નથી કહેતો પણ એનો માર્ગ જુદો હોય, એના રસના વિષય જુદા હોય પણ એને સમજ પડી નાં હોય કે એના રસના સબ્જેક્ટ કયા છે અને બીજી કોઈ લાઈનમાં જતો રહે તો ધબડકો વળી જાય.’

મેં કહ્યું કાકા એ વાત સાચી ઘણીવાર સમજ પડતી નથી તે સમયે કે આપણા રસના મનગમતાં વિષય કયા છે, આજે મને લાગે છે કે હું તે સમયે કૉમર્સના બદલે બાયોલોજીમાં ગયો હોત તો વધુ સારું ભણી શક્યો હોત. પણ તે વાત મને આજે ૫૫ વર્ષે ખબર પડે તો શું કામની? બીજું આજે હું ત્રણેક વર્ષથી આર્ટિકલ આખું છું જો મને ૧૫-૨૦ વર્ષ પહેલા ખબર પડી હોત કે મારામાં લેખક બનવાની ક્ષમતા છે તો ??

અંબુકાકા કહે એક તો ઘરમાં બધા છોકરાં બહુ ઊંચું ભણી નાખે તે જરૂરી નથી એકાદ સરખું નાં ભણે તો તે હોશિયાર નથી તેવું માની લેવું નહિ અને તે બાબતે માબાપે ગિલ્ટી ફિલ કરવાની જરૂર નહિ અને ખાસ તો તે છોકરાને એવું નાં લાગવું જોઈએ કે માબાપ તેના સારા રિઝલ્ટ નાં આવવાથી તેને નફરત કરે છે. આમ તો માબાપ બાળકને નફરત કરે નહિ પણ ઇન્ગોર કરે અથવા નારાજગી બતાવે પણ બાળકને અચેતન રૂપે લાગે કે માબાપ તેનાથી નારાજ છે.

યસ ! આ વાત બહુ મહત્વની કરી કે સંતાનને એવું ના લાગવું જોઈએ કે માબાપ તેને નફરત કરે છે અથવા નારાજ છે.

હવે શાંતિભાઈ પાછાં થાક ખાઈને તૈયાર થઈ ગયા હતા. એમણે કહ્યું, ‘ મારા એક મિત્ર હતા તેમનો સૌથી મોટો દીકરો મેટ્રિકમાં દસેક વાર પરીક્ષા આપી પણ પાસ થયો નહોતો. જ્યારે બીજો દીકરો પીએચડી સુધી ભણેલો. હતા બંને હોશિયાર પણ આવું કેમ બન્યું તે એક કોયડો છે. અને આ મેટ્રિકમાં દસ વાર નાપાસ થયેલા દીકરાનો દીકરો આજે વૈજ્ઞાનિક છે બોલો કહેવું છે કાઈ?

મેં કહ્યું ચાલો રવીન્દ્રનાથ ટાગોર ની સ્ટોરી કહું જે બહુ લોકોના ધ્યાનમાં નથી. રવીન્દ્રનાથ ટાગોર બહુ મોટા જમીનદાર ફૅમિલીના હતા. ટાગોરના કાકા-બાપા બધા ભાઈઓનું બહુ મોટું બહોળું કુટુંબ સંયુકતપણે રહેતું હતું. ઘરમાં ઘણા બધા બાળકો એકસાથે ઊછરતા હતા. હવે આ નાના બાળકો મોટા થઈને શું બનશે શું ભણશે તે વિષે અંદાજ મારીને ઘરના દરેક મોટા સભ્યોએ એક ડાયરીમાં લખવાનું તેવો નિયમ ટાગોરના પિતાશ્રીએ બનાવેલો. ઘણા બધા બાળકો હતા બધા તેજસ્વી હતા ભણવામાં. કોઈ લખતું કે આ બાળક જજ બનશે કે આ વકીલ બનશે, પણ રવીન્દ્રનાથ વિષે લખવું મુશ્કેલ હતું. રવીન્દ્રનાથ આખો દિવસ ખેતરો અને નદી કિનારે રખડી ખાતા અને રમ્યા કરતા. ભણવામાં એમનું ચિત્ત ચોટતું નહોતું. બાળક ગમે તેવું હોય પણ એની માતા એના વિષે હમેશાં ઉચો ખ્યાલ રાખતી હોય ભલે બીજાને ડફોળ લાગે. માતાને એનું બાળક ખૂબ વહાલું હોય છે. વિડમ્બના એ હતી કે રવીન્દ્રનાથનાં માતા પણ એમના વિષે બહુ સારો ખ્યાલ ધરાવતા નહોતા. એમણે પેલી ડાયરીમાં લખેલું કે રવીન્દ્રનાથ માટે મને કોઈ આશા નથી. એક માતા જ્યારે આવું લખે તો વાત પતી ગઈ. હવે આજે આપણે જાણીએ છીએ કે આવડા મોટા ફૅમિલીના ખાલી રવીન્દ્રનાથને આપણે ઓળખીએ છીએ બીજા તેજસ્વીઓને કોઈ જાણતું પણ નથી. એમના મોટાભાઈ તો જજ હતા ને અમદાવાદમાં જજ તરીકે ફરજ બજાવી ચૂકેલા પણ ખરા.

હવે અત્યાર સુધી ચુપચાપ વાતો સાંભળતાં કમળાબેન બોલ્યા કે ભાઈઓ ગમેતેટલી ફિલોસોફી ફાડો પણ માતાને તો દુઃખ થાય થાય ને થાય અને ચિંતા પણ થાય જો એક દીકરો સારું ભણે અને બીજો નાં ભણે તો. મેં કહ્યું એની કોણ નાં પાડે છે? ચિંતા કરવી અને અપરાધભાવ અનુભવવો એ બેમાં ફેર ખરો કે નહિ?

શાંતિભાઈ બોલ્યા હમણાં વરસ પહેલા હું ભારત ગયેલો ત્યારે એક મિત્રની દીકરો કહે કાકા મને અમેરિકા લઈ જાવ ગમે તેવી જૉબ કરીશ પણ પૈસા કમાવા છે વેઇટર બનીશ પણ ડોલર જોઈએ. તો મેં જવાબ આપ્યો ડફોળ વેઇટર બનીને કમાઇશ એના કરતા કમ્પ્યુટર એન્જીનીયર બનીને વધુ કમાઈ શકીશ સારું ભણી લે અને એચ-વન વિઝા પર ત્યાં આવી જા, પણ પહેલા સારું ભણી લે.

મેં કહ્યું વાત મુદ્દાની કરી. ચાલો હવે ભાગીએ આજે તો વાતોમાં બહુ મોડું થઈ ગયું, કાલે મળીશું.    imagesWBT4EBPE

સ્વાર્થી જિન્સ (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી-૪)

સ્વાર્થી જિન્સ (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી-૪)

અમારી ગામ ગપાટા મંડળીનાં સભ્ય મંજુબેનની પૌત્રીને દૂધ છોડાવવાની બાબતમાં જે ચર્ચા થયેલી તે પ્રમાણે શાંતિભાઈએ માતાનું દૂધ કેટલું મહત્વનું છે તાજાં જન્મેલાswami-vivekananda-DM70_l બાળક માટે તે વિષયક માહિતીની અમુક લિંક ઈ-મેલ દ્વારા મંજુબેનને મોકલી આપી હતી. તે બધી લિંક એમણે એમની પુત્રવધૂ ને ફૉર્વર્ડ કરેલી. એની ધારી અસર ઊપજી હતી. આજની પેઢી ખુલ્લા મનની છે તેના ગળે વાત ઊતરે તો પછી પ્રમાણિકપણે એનો અમલ કરે જ. પણ આ પેઢીને હવે હમ્બગ વાતોમાં રસ પડતો નથી, નક્કર વૈજ્ઞાનિક સંશોધન આધારિત વાત હોવી જોઈએ. આમ આજની પેઢી મોટાભાગે રેશનલ બનતી જાય છે.

આજના નાના છોકરાને કહીએ કે હનુમાનજી સૂર્યને નારંગી સમજી તોડવા માટે આકાશમાં કૂદેલા અને પડી ગયા તો હડપચી ભાગી ગઈ એટલે હનુમાન કહેવાયા તો હસવાનો જ છે. કહેશે બાપા શું ગપ્પા મારો છો?

મંજુબેને આવતાવેત ખુશ થઈ ને સમાચાર આપ્યા કે એમની પુત્રવધૂ  એ હમણાં દૂધ છોડાવી દેવાનું મુલતવી રાખ્યું છે. શાંતિભાઈ કહે આપણે સીધેસીધું ગમે તેટલું કહીએ દાખલા દલીલો કે સંશોધનના હવાલા આપીએ પણ માનત નહિ અને આ લિંક વાંચી કેવું માની લીધું? મેં કહ્યું સાચી વાત છે આ બધું મન ઉપર જાય છે. હમણાં કોઈ ગુરુજી કહે તો આપણે કેવાં અંધ બની માની લઈએ છીએ? માણસના મનનો તાગ મેળવવો અઘરો છે. જેટલા માણસ એટલાં મન અને જેટલા મન એટલી સાયકોલોજી.

આજે નિકિતા સમાચાર લાવી હતી કે આશારામ બાપુના આશ્રમમાં દરોડા પાડતા ૪૨ પોટલાં મળ્યા એમાં ૧૦,૦૦૦ કરોડની સંપત્તિ ને લગતા દસ્તાવેજો હાથ લાગ્યા છે.

મેં કહ્યું, ‘ આ તો થવાનું જ હતું, આ બાવાઓ તમને ભૌતિકવાદી બનશો નહિ તેવી શિખામણો આપશે પણ તેઓ ધનના ઢગલા ભેગાં કરતા રહેવાના. આટલી સંપત્તિ ના મળી હોય તો નવાઈ લાગે. મૂળ આની પાછળ આપણું એનિમલ બ્રેન જવાબદાર છે. એનિમલ બ્રેન આગળ બધી ફિલોસોફી અને આદર્શોની ગળી ગળી વાતો હવાઈ જતી હોય છે.’ નિકીતા બોલી આમાં એનિમલ બ્રેન ક્યાં આવ્યું?

મેં કહ્યું, ‘ એનિમલ બ્રેન હમેશાં સર્વાઈવલ અને રીપ્રોડક્શન વિષે શોચતું હોય છે. માનવો પાસે એનિમલ બ્રેન સાથે મોટું વિચારશીલ બ્રેન પણ છે માટે રીપ્રોડક્શનને પ્રમોટ કરતી તમામ બાબતોની પાછળ મોટા બ્રેનનો સહારો લઈને માનવ મગજ જાતજાતના નુસખા શોધી પડેલું રહેતું  હોય છે. એક તો સમાજમાં પ્રથમ હોય, આલ્ફા હોય તેને જ રીપ્રોડક્શન માટે ફિમેલ મળે અને ફિમેલ પણ બળવાન જિન્સ સાથે વિપુલ રીસોર્સીસ જેની પાસે હોય તેને જ પસંદ કરે. બસ ધર્મ પણ આ બાવાઓ માટે પ્રથમ બનવાનું એક સાધન માત્ર હોય છે. ધર્મના બહાને સમાજમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લીધું પછી વારો આવે રીસોર્સીસ ભેગાં કરવાનો અને એના માટે ધન કમાઓ. ધનના ઢગલા કરો પછી પાછળ પડો અંતિમ મંજિલ એવી સ્ત્રીઓ પાછળ. ઉચ્ચ આદર્શો ભરેલી ધાર્મિક વાતો પણ સમાજમાં પ્રથમ સ્થાને પહોચવાની નિસરણી માત્ર હોય છે. કારણ એવી વાતો કર્યા વગર કોઈ માનસન્માન આપે નહિ. વિવેકાનંદ જેવા બહુ ઓછા સાધુઓ હોય છે કે જેઓને આખા સમાજના ઉત્થાનની ફિકર હોય છે.’

મેં કહ્યું નિકીતા ‘એક વાક્યમાં કહું તો સામાન્ય માનવીને ફક્ત પોતાના જિન્સની(Genes) ફિકર હોય છે, નેતાઓ અને ટીપીકલ ધાર્મિક નેતાઓ આખા સમાજના જિન્સની ફિકર કરતા હોય તેવો દેખાડો કરીને ફક્ત પોતાના જિન્સની ફિકર કરતા હોય છે અને વિવેકાનંદ જેવા સંતો પોતાના જિન્સની ફિકર કર્યા વગર આખા સમાજના જિન્સની ફિકર કરતા હોય છે.’

શાંતિભાઈ બોલી ઊઠ્યા, ‘તમે તો સેલ્ફીશ જિન્સની થિયરીનો સારાંશ એક જ વાક્યમાં કહી નાખ્યો.’

મેં કહ્યું એ વાત પર ઠોકો તાલી અને કાલે ફરી મળીશું કહી અમે છુટા પડ્યા.

‘માનવ મન એક ચક્રવ્યૂહ’, મારું વધુ એક પુસ્તક.

વધુ એક પુસ્તક વાચકના માથે પ્રેમથી ફટકારું છું. મારા વાચકો પ્રેમપૂર્વક સહન કરી લેશે તેવી આશા છે જ.    scan0001book

પ્રસ્તાવના (માંથી થોડા અંશ)

ટોળાના ઘેંટા ઉભો રે’ જે, સાવજ ગરજે…..!

ફેસબુક ફ્રૅન્ડ દર્શિત ગોસ્વામીની વૉલ પર એક લેખ અનાયાસે જડી ગયો. ભાષા તેજાબી વિષય જવાબી. વર્ષો જૂના સવાલોના ધૂમધડાકેદાર ઉત્તર આપતો, અંધશ્રદ્ધાને ચીરતો સાયન્ટિફિક કન્ટેન્ટ. બચપણથી ફૉરિનના સાયન્સ મૅગઝીન્સ વાંચવાનો શોખ. બહુ ઓછા પ્રોફેશનલ ગુજરાતી પત્રકારો પણ આવા લેખો વાંચતા હોય છે. એવું જ ડિસ્કવરી, હિસ્ટ્રી, નેશનલ જિઅગ્રૅફિક જેવી ચેનલો પરની ડૉક્યુમેન્ટરીઝનું. એટલે નવાઈ લાગી કે આવું બધું વાંચી-જોઈને પછી એ ગુજરાતીમાં મૂકનારો સમરસિયો વળી કોણ હશે? નામ વાંચ્યું, ભૂપેન્દ્રસિંહ રાઓલ. જાણીતું ના લાગ્યું. લેખમાં લેખકો માટે તડાફડીની ભાષા એટલે કોઈ સાહિત્ય વિરોધી ‘કૅમ્પ’ના સદસ્ય હોવાની પણ શંકા ગઈ. આવું ઘણું વંચાઈને ભૂલાઈ જતું હોય છે, પણ આ ‘કુરુક્ષેત્ર’ (રાઓલ સાહેબના બ્લોગનું નામ)ના મહારથીના લખાણમાં જે જનોઈવઢ ઘાની રોકડી નિખાલસતા હતી, એ ભૂલાઈ જાય તેમ નહોતી.

ભારતને અને ગુજરાતને ભૂપેન્દ્રસિંહ રાઓલ જેવા ખુલ્લા મનના અભ્યાસુ અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા આધુનિક લેખકની જરૂર છે. કમ્પ્યુટર સ્ક્રીનથી બુકના પેજીઝ સુધીની આ સફર વાચકને પુસ્તક પુરુ કરે ત્યાં સુધીમાં વધુ બુદ્ધિમાન બનાવવા સક્ષમ છે. રાઓલસાહેબ ગોળ ગોળ જલેબી તળવામાં માનતા નથી. પૉઇન્ટ બ્લૅન્ક રેન્જથી વાસ્તવિક વિચારોનો ધાણીફૂટ ગોળીબાર કરે છે. એમની આ આગવી સ્ટાઇલ અપીલિંગ બની ગઈ છે. ભૂપેન્દ્રસિંહ રાઓલને આવા કેસરિયા કરવા માટે ઝાઝેરા જુહાર. રંગ છે આ બુદ્ધિજીવી બાપુને. આવા પ્રકારના પુસ્તકના આતુર વાચક અને વિસ્મયવાદી લેખક તરીકે મને ઓવારણા લેવાનું મન થાય છે, ઘણી ખમ્મા વિજ્ઞાનવિચારક્રાંતિને !  :-જય વસાવડા, બ્લોક નં.-૯ અક્ષરધામ સોસાયટી , ગોંડલ: ૩૬૦ ૩૧૧,  ફોન નં.(૨૮૨૫)૨૨૩૭૭૬ મોબાઈલ- ૯૮૨૫૪૩૭૩૭૩  jayvaz@gmail.com    http://planetjv.wordpress.com/

નિવેદન (માંથી થોડા અંશ)

પ્યારા મિત્રો, મનોવિજ્ઞાન મારો પ્રિય વિષય રહ્યો છે. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ, બાયોલોજિ અને મનોવિજ્ઞાનનો સહિયારો અભ્યાસ કરીને વિકસાવેલા ઇવલૂશનરી સાઇકૉલોજી(Evolutionary psychology) વિષયને લક્ષમાં લઈને માનવ સ્વભાવના જટિલ રહસ્યો શોધવાનો પ્રયત્ન ઇવલૂશનરી સાઇકૉલાજિસ્ટ કરતા હોય છે. મેં પણ મારી અલ્પમતિ મુજબ આ બધાં વૈજ્ઞાનિકોને વાંચી, મનન ચિંતન કરી ભારતીય સંસ્કૃતિનાં સંદર્ભમાં લખવાનો પ્રયત્ન કરેલો છે. હ્યુમન સાઇકૉલોજી અને હ્યુમન બિહેવ્યર પાછળની સાઇકૉલોજી વિષે આપણાં સાઇકૉલાજિસ્ટ લખતા જ હોય છે, પણ મેં અહીં હ્યુમન સાઇકૉલોજી અને હ્યુમન બિહેવ્યર પાછળની બાયોલોજિ વિષે લખ્યું છે, જે ગુજરાતી લેખન જગતમાં આ રીતે લખવાનો કદાચ પહેલો પ્રયાસ હશે.

scan0002bookઅતિવ્યસ્ત હોવા છતાં જાણીતા અખબાર ગુજરાત સમાચારમાં ‘અનાવૃત’ અને ‘સ્પૅક્ટ્રોમિટર’ કૉલમ લખતા સૌથી વધુ વંચાતા, હાલના સૌથી વધુ લોકપ્રિય લેખક, લોકપ્રિય મોટિવેશનલ પબ્લિક સ્પીકર અને પરમમિત્ર એવા શ્રી જય વસાવડાએ આ પુસ્તકની પ્રસ્તાવના લખવાનું સ્વીકાર્યું તે મારા માટે સૌભાગ્યની વાત છે. અમારી દોસ્તી વૈચારીક અખાડામાં કુસ્તી કરતા શરૂ થઈ હતી. એમનો જેટલો આભાર માનું તેટલો ઓછો પડે.

ડૉ શ્રી. અમૃત હઝારી અને શ્રી. દીપક ધોળકિયા સાહેબ જેવા મિત્રોએ આ પુસ્તક વિષે એમનો બહુમૂલ્ય અભિપ્રાય આપ્યો તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભારી છું. ડૉક્ટર દિનેશભાઈ પટેલ અને ડૉક્ટર કેતન પટેલ જેવા મિત્રો નિયમિત પ્રોત્સાહન આપતા રહેતા. મારા લેખો પુસ્તકરૂપે પ્રકાશિત થાય તેવો એમનો ખૂબ આગ્રહ રહેતો. બંને મિત્રોએ આ પુસ્તક પ્રકાશન બાબતે આપેલો નૈતિક અને આર્થિક ફાળો પણ મારા માટે અમૂલ્ય છે. બંને મિત્રોનો હ્રદયપૂર્વક આભાર માનું છું.

મારા નાના ભાઈશ્રી પ્રદીપસિંહ રાઓલ(લેખક-અંતહીન યાત્રા) જેમણે આ પુસ્તક પ્રકાશન બાબતે તમામ જવાબદારી સંભાળી તે માટે એમનો જેટલો આભાર માનું તેટલો ઓછો પડે. ગુજરાતી બ્લૉગ જગતના મિત્રોએ અવાનવાર પ્રતિભાવ આપી મને કાયમ પ્રોત્સાહિત કર્યો છે તે માટે તમામ બ્લૉગર મિત્રોનો પણ આભાર માનું છુ. ફેસબુક વિશ્વના મિત્રોએ કાયમ કૉમેન્ટ્સ-લાઈક આપી મારો લખવાનો ઉત્સાહ વધાર્યો છે. ફેસબુક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. વૈજ્ઞાનિક રિસર્ચ અને માહિતીનાં મોતી મારા આગવા ચિંતમનન રૂપી દોરામાં પરોવીને મૂકેલી આ માળા એટલે આ પુસ્તક ‘માનવ મન એક ચક્રવ્યૂહ’. એકવાર જપશો તો વારંવાર આ માળા જપવાનું મન અવશ્ય થશે તેવી મને આશા છે.  :- Bhupendrasinh Raol , Edison, NJ 08817 U.S.A. Mobile No. +1 7324066937

e-mail : brsinh@live.com

પ્રાપ્તિસ્થાન :

૧) અશોક પ્રકાશન મંદિર, પહેલો માળ, કસ્તૂરબા ખાદી ભંડારની ઉપર, રતનપોળની સામે ગાંધી રોડ, અમદાવાદ. ફોન- ૦૭૯-૨૨૧૪-૦૭૭૦ Email: scan0003bookhareshshah@yahoo.co.in

૨) નવભારત સાહિત્ય મંદિર, ૧૩૪ પ્રિન્સેસ સ્ટ્રીટ, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૦૨, ફોન- ૨૨૦૧ ૭૨૧૩ , ૨૨૦૮ ૫૫૯૩ Email: nsmmum@yahoo.co.in

૩) નવભારત સાહિત્ય મંદિર, ૨૦૨ પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ અને જૈન દેરાસર પાસે ગાંધી રોડ અમદાવાદ.

૪) બુક શેલ્ફ, ૧૬ સીટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, અમદાવાદ.

૫) રાઓલ પ્રદીપસિંહ રતનસિંહ , ૨૦૧ રાજમંદિર એપાર્ટમેન્ટ, ૫/૨ પટેલ કૉલોની જામનગર. ફોન- ૯૯૯૮૯૯૩૫૧૫ Email: praol1810@gmail.com

૬) http://www.gujaratibooks.com/ ટૂંક સમયમાં આ વેબસાઈટ પર ઓનલાઈન મળી શકશે.

સર્વ નાગરિક એકસમાન (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી -૩)

untitled=-=-
સર્વ નાગરિક એકસમાન (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી -૩)

અમારી ગામગપાટા મંડળીમાં શનિ -રવિ હોય એટલે બેચાર સભ્યો બીજા ઉમેરાઈ જાય. પચીસેક વર્ષની નિકિતા એચ-૧ વિઝા ઉપર આવેલી છે તેને શનિ-રવિ સિવાય ટાઈમ મળે નહિ ફરવાનો. એક ભારતીય ફૅમિલીમાં પેઈંગ ગેસ્ટ રહે છે. બેઝમેન્ટમાં નાની રૂમ જેટલી જગ્યા મળી જાય. એક એરબેડ વસાવી લેવાનો. એક ટાઈમ ચા નાસ્તો અને એક ટાઈમ જમવાનું મળી જાય તેના મહીને ચારસો-પાંચસો ડોલર્સ ચૂકવી દેવાના. એક જૂની કાર લઈ લેવાની. નહિ તો અમુક માણસો રાઈડ આપવાનો ધંધો ઘેરબેઠાં કરતા હોય છે, ફોન કરો એટલે સ્થળ ઉપર લઈ જાય અને પાછાં મૂકી જાય. મોંઘું પડે પણ શરૂઆતમાં લાઇસન્સ મળ્યું ના હોય, કાર ખરીદવાના પૈસા ભેગાં થયા ના હોય તો શું કરવાનું? ભારતમાં ઊછરેલી અને ગુજરાતમાં રહેતા અમારી ઉંમરના એના માબાપને મિસ કરતી નિકીતાને અમારી મંડળીમાં ગામગપાટા મારી ખૂબ સારું લાગતું, બાકી અહીં બોર્ન થયેલી યુવા પેઢીને અમારા જેવડા આધેડ ઘરડાઓની કંપનીમાં વધારે સમય પસાર કરવો ફાવે નહિ.

નિકીતા અવતાવેત સમાચાર લાવી કે ભારતમાં હવે જૈન લોકોને કાયદેસર લઘુમતીનો દરજ્જો પ્રાપ્ત થઈ ગયો અને લઘુમતીને મળતા તમામ સામાજિક, આર્થિક અને કાયદાકીય લાભ એમને મળવાના. સંભાળીને પ્રથમ તો મને ખૂબ હસવું આવ્યું. મેં કહ્યું ચાલો હવે સ્કૂલમાં હિંદુ-જૈન લખાવતા હતા તેના બદલે એકલાં જૈન લખાવશે. આમેય ઘણા જૈન મુનિઓ વિરોધ કરતા જ હતા કે અમે હિંદુ નથી જૈન છીએ. જો તમે હિન્દુને ધર્મ સમજતા હોવ તો જૈન હિંદુ નથી પણ જો તમે હિન્દુને સંસ્કૃતિ સમજતા હોવ, એક વિચારધારા સમજતા હોવ કે જીવન જીવવાનો એક તરીકો સમજતા હોવ તો જૈન હિંદુ જ છે.

અંબુકાકા કહે જૈન લઘુમતી શબ્દના અર્થમાં કહીએ તો લઘુમતી તો ખરા જ ને? મેં કહ્યું બેશક એમને સંખ્યા અને જૈન ધર્મી સમજો તો લઘુમતીમાં જ ગણાય. આમ તો હિંદુઓમાં પણ કેટલા બધા સંપ્રદાય છે? જૈનોમાં જ ચાર ફાંટા છે, તેમ સ્વામીનારાયણ સંપ્રદાયમાં પણ ચારપાંચ ફાંટા છે. આમ દરેક સંપ્રદાયવાળા એમ કહેશે કે અમે સંખ્યાની દ્રષ્ટીએ ઓછા જ છીએ તો અમને પણ લઘુમતીમાં ગણો. નિકીતાનો સવાલ એ હતો કે તમે લઘુમતીમાં ગણાવાનું પસંદ શા માટે કરો? મેં કહ્યું બેશક લઘુમતીને મળતા સ્પેશલ લાભ મેળવવા હોય. બાકી તમને કોણ મારી નાખે છે?

શાંતિભાઈ અત્યાર સુધી ચુપ હતા તે બોલ્યા ભાઈલા આ બધું રાજકારણ છે. ચૂંટણી આવી રહી છે તેના આ બધા નાટક છે. ભાગલા પાડો રાજ કરો અંગ્રેજો શીખવી ગયા છે. બાકી ભારતમાં તો ઠીક અમેરિકામાં ભારતીયોમાં ગણીએ તો પણ જૈનો જ વધુ સમૃદ્ધ છે. ભારતમાં પણ સ્ટોક માર્કેટ, કાપડ માર્કેટ, ઉદ્યોગધંધા, ડાયમંડ માર્કેટ બધામાં જૈનોની જ બોલબાલા છે, એજ્યુકેશનમાં પણ જૈન સમાજ જ બધા કરતા આગળ છે. તો એમને લઘુમતીમાં ગણાઇને ફાયદા લેવાની ક્યાં જરૂર છે?

મેં કહ્યું દલિતો માટે આદિવાસી માટે અનામતનો કૉન્સેપ્ટ બરોબર હતો કે સદીઓથી એમને ઇરાદાપૂર્વક પછાત રાખવામાં આવ્યા છે તો થોડી સ્પેશલ સગવડો આપ્યા વગર .

નિકિતા થોડી અપસેટ થઈ ને બોલી પહેલા તો વર્ણ વ્યવસ્થાને લીધે અસમાનતા ઊભી થઈ. મેં કહ્યું એક પાણીનો ગ્લાસ ઢોળાઈ ગયો તે પાણી હવે ગ્લાસમાં પાછું જવાનું નથી. હવે હું તારો ગ્લાસ ઢોળું તું મારો ઢોળે એનો કોઈ અંત આવે નહિ. ફરી કોઈના પણ ગ્લાસ ઊંધા પડે નહિ તે જોવાનું છે. જૈનોને તો ડબલ ફાયદો ઉચ્ચ વર્ણના લોકોએ સદીઓ સુધી પછાત લોકોનું શોષણ કર્યું એમાં જૈનો ઉચ્ચ વર્ણ તરીકે તે શોષણ કરવામાં સામેલ જ હતા હવે લઘુમતીમાં એન્ટ્રી મારી ફરી લાભ લેવા પણ તૈયાર. images=-=-=-

બધી મગજમારી આ વર્ણ વ્યવસ્થા અને જ્ઞાતિપ્રથાને લીધે ઊભી થઈ છે કમુબેન બોલ્યા. મેં કહ્યું સાચી વાત છે. વર્ણ વ્યવસ્થાને લીધે જ્ઞાતિવાદ સજ્જડ હોવાના લીધે બે કોમ વચ્ચે કોઈ પ્રેમભાવ લાગણી રહી નહિ અને એના લીધે રાષ્ટ્રવાદ કમજોર બનતો ગયો. હવે અંગ્રેજો તો ૧૭૫૭માં આવ્યા તે પહેલાથી જ્ઞાતિપ્રથા હતી જ તો ભાગલા પાડો રાજ કરો અંગ્રેજોએ શીખવ્યું કે આપણે અંગ્રેજોને હિન્ટ આપી? આપણને વાતે વાતે અંગ્રેજોને ભાંડવાની નપુંસક ટેવ પડી ગઈ છે કેમકે આપણને આપણી ભૂલો દેખાતી જ નથી.

સાચી વાત છે રાઓલભાઈ તમારી મંજુબેન બોલ્યા, આપણે ત્યાં કોઈ પ્રેમપ્રકરણ પકડાય કોઈ આપઘાત કરે તરત હોબાળો મચી જાય કે પશ્ચિમનું આંધળું અનુકરણ. આ દુર્યોધન દ્રૌપદીના ચીર ખેંચવા ભરી સભામાં તૈયાર થયેલો તે અંગ્રેજો જોડે કે પશ્ચિમ જોડે શીખવા ગયેલો? આ રાવણ સીતાજીનું અપહરણ કરવાની ટ્રેનીગ લેવા અમેરિકા ગયેલો? વિશ્વામિત્ર અને મેનકા લફરાં કરવાનું શીખવા બ્રિટન ગયેલા નહિ? મંજુબેનનો આક્રોશ સાંભળી અમે બધા હસી પડ્યા.

મેં કહ્યું ખરેખર તો કોઈ બહુમતી કે લઘુમતી જેવા વર્ગીકરણ કરવા જ ના જોઈએ. આ દેશના સર્વે નાગરીકો સમાન હોવા જોઈએ, ના કોઈ દલિત, ના કોઈ ઉચ્ચ વર્ણ, ના કોઈ નીચા વર્ણ, ના કોઈ આદિવાસી. આવા ભેદભાવની પરખયુક્ત કે સમજયુક્ત શબ્દો જ ડીક્શનેરીમાં હોવા ના જોઈએ. કાયદો કાનૂન બધા માટે એકસમાન હોવો જોઈએ. આર્થિક રીતે કમજોર હોય પછી ગમે તે કોમનો, જાતનો કે ધર્મનો હોય તેને એની યોગ્યતા મુજબ મદદ લાભ મળવો જોઈએ. ફક્ત સંખ્યાના આધારે કોઈ સમૃદ્ધ જાતી લઘુમતીમાં ગણાઇને લાભ લેવા દોડી જાય એ તો નવાઈ જેવું લાગે છે.

અમે બધા તો અમેરિકામાં નવા કહેવાઈએ પણ અંબુકાકા બહુ જુના રહેવાસી કહેવાય. તે કહે અમેરિકામાં કોઈ પણ ધર્મ પાળવાની છૂટ છે અને ધર્મ ના પાળવો હોય તેની પણ છૂટ છે. અહીં કોઈ પામ જગ્યા એ કોઈ ફોર્મ ભરવાના હોય તો તમારે તમારો ધર્મ લખવાની પણ છૂટ છે. તમારી Race પણ લખવાની હોય છે. પણ અહીં કાયદા તમામ નાગરીકો માટે સમાન છે. તમે જાતિ, race, ધર્મ કે જેન્ડર આધારિત ભેદભાવ કરી શકો નહિ. ડીસ્ક્રીમીનેશન અહીં ગુનો ગણાય છે. ધર્મ ગમે તે પાળો કાયદા સરકારના પાળો.. હોસ્પિટલો વગેરેમાં કોઈપણ ભેદભાવ વગર જો તમે આર્થિક રીતે નબળા હોવ તો સારવારનું બીલ ચેરિટીમાં જાય. બાકી આ તો આખો દેશ ઇમિગ્રન્ટ લોકો વડે બનેલો છે. લઘુમતીઓ ગણવા બેસો તો પાર જ આવે નહિ..

શાંતિભાઈ કહે સૌરાષ્ટ્રના લોહાણા સમાજના કોઈ આગેવાને આવી રીતે ભૂતકાળમાં લોહાણા કોમને લઘુમતીમાં મૂકવાની વાત કરેલી તો લોહાણા સમાજે જ વિરોધ કરેલો ને વાત પડતી મૂકાયેલી.

મેં કહ્યું આપણે બધા અહીં વાતોના વડા કરીએ છીએ એની કોઈ અસર ત્યાં પડવાની નથી, ચાલો હવે ઘેર ભાગીએ.. સી યુ ટુમોરો….

ધાવણ અને બ્રેન (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી) -૨

 ધાવણ અને બ્રેન  (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી) -૨
અમારી રેડબડ ગામ ગપાટા મંડળીના બધા સભ્યો કાયમ હાજર હોય તેવું બનતું નહિ. કોઈ ને કોઈ તો ગેરહાજર હોય જ. આતો કામગરો દેશ છે કોઈને અહીં ગપાટા મારવાની નવરાશ હોય નહિ. એટલે જે કામ પતાવીને આવ્યા હોય કે રિટાયર હોય તેવા મિત્રો ભેગાં થઈ જતા. images9ZS5HX7Y

કમુબેન અને મંજુબેન એમના દીકરાઓને હેલ્પ થાય તે માટે ભારતથી અહીં રહેવા આવી ગયેલા હતા. આ દેશમાં પતિપત્ની બંને જૉબ કરતા હોય એટલે નાના બાળકોને સાચવવા બેબીસીટર રાખવી પડે. સરવાળે તે મોંઘું પણ પડે. વધુમાં દાદી સાથે લોહીનો નાતો હોય એટલે બાળકો સાથે લાગણીનાં તંતુ વડે જોડાયેલ દાદીની દેખભાળમાં આભ જમીનનો ફેર પડી જાય. માબાપ પણ ઇન્ડિયામાં એકલાં રહેતા હોય તો એમની ચિંતા કાયમ કરવી એના કરતા અહીં જોડે રહે તેમાં શું વાંધો? અરસપરસ બધાનું હિત જળવાઈ જાય. આમ તમને ભારતમાં સંયુક્ત કુટુંબ જોવા કદાચ ઓછા મળે પણ અહીં રહેતા ભારતીયોમાં સંયુક્ત કુટુંબ વધુ જોવા મળે તેવું પણ બને.

શાંતિભાઈ સાંજે ચાર વાગે જૉબ પરથી છૂટી જાય એટલે ઘેર આવી ચાપાણી પતાવી ફરવા નીકળી પડે. એમનો અભ્યાસ અને વાંચન પણ બહોળું છે. અંબુકાકા પોતે ભરૂચમાં એક સ્કૂલમાં હેડમાસ્તર હતા. નાના દીકરાને ઘેર તે અને તેમના શ્રીમતી રહે છે. એક દીકરો એના બાલબચ્ચાં સાથે બીજે રહે છે. દીકરી જમાઈ પણ બીજે રહે છે. શનિ-રવિ એકબીજાના ઘેર ભેગાં થઈ એમનું કુટુંબ કિલ્લોલ કરતું હોય છે. કાલની જેમ આજે પાછાં અમે ચાર જણા ભેગાં થઈ ગયા.

થોડી ગપસપ પછી કાલની વાત આગળ વધારતા શાંતિભાઈ બોલ્યા, ‘ માતા જ્યારે બાળકને ધવડાવતી હોય ત્યારે માતા અને બાળક બંનેના બ્રેનમાં ઓક્સીટોસીન નામનું ન્યુરોકેમિકલ પુષ્કળ પ્રમાણમાં સ્ત્રવતું હોય છે જે માતા અને બાળક વચ્ચે સામાજિક જોડાણ પાકું કરે છે. બીજું માતાનું ધાવણ બાળકના બ્રેન વિકાસ માટે મહત્વનું છે. ફૉર્મ્યુલા ફીડીંગ ડાયાબીટીસ અને બીજા રોગોનું કારણ બની શકે છે. ઓક્સીટોસીન પ્રેમ અને વિશ્વાસ માટે કારણભૂત કેમિકલ કહેવાય છે.’

મેં કહ્યું મતલબ તમે બાળકને પૂરતું ધવડાવ્યું નાં હોય તો માતા અને બાળક વચ્ચે સામાજિક બૉન્ડ જોઈએ તેવું સખત બને નહિ તેવું કહી શકાય.

શાંતિભાઈ કહે, ‘અપવાદ રૂપ કિસ્સા હોય બાકી સરેરાશ જુઓ તો જે બાળકો માતાને વધુ સમય ધાવ્યા હોય અને જે બાળકો ઓછો સમય ધાવ્યા હોય તેમના એમની માતા સાથેના સામાજિક સંબંધોમાં ફેર તો રહેવાનો જ. Bryan Rodgers નામના મેડિકલ સંશોધકે ૮ થી ૧૫ વર્ષના ૨૦૦૦ બાળકોના જ્ઞાનભંડોળ વિષે ચકાસણી કરી એક અભ્યાસ કરેલો. જે બાળકો સમગ્રતયા બોટલ ફીડીંગ પર ઊછરેલા તેમનો જ્ઞાનભંડોળનો સ્કોર માતાના દૂધ સાથે ઊછરેલા બાળકો કરતા થોડો ઓછો હતો. માતાનાં દૂધ પર ઊછરતા ૬ મહિના થી ૨ વર્ષની ઉંમર સુધીના બાળકોનાં મેન્ટલ ફંક્શન પણ બોટલ-દૂધ પર ઊછરતા બાળકો કરતા વધુ નોંધાયા છે.’

વધુમાં શાંતિભાઈએ ઉમેર્યું, “ઘણી માતાઓ ચાર-છ  મહિના ધવડાવી બાળકોને બોટલ પર ચડાવી દેતી હોય છે. માનવવંશ શાસ્ત્ર અને પુરાતત્ત્વવિદ્યા જેવી અભ્યાસની શાખાઓ તરફથી મળેલા પુરાવા જતાવે છે કે ૧૦,૦૦૦ વર્ષ પૂર્વે દુનિયાના બધા સમાજો હન્ટર-ગેધરર હતા તે આપણા પૂર્વજો મિનિમમ ૩ વર્ષ તો બાળકોને ધવડાવતા જ હતા. એટલે અભ્યાસમાં બેચાર મહિના ધાવેલા બાળકો અને બેત્રણ વર્ષ ધાવેલા બાળકો વચ્ચેનો તફાવત ધ્યાનમાં લેવો જોઈએ. ૧૯૯૩માં Walter Rogan અને Beth Gladen નામના જીવ વૈજ્ઞાનિકોએ ૬ મહિનાથી માંડી ૫ વર્ષ ઉંમર સુધીના બાળકોનો અભ્યાસ કરેલો. એમનું તારણ એ હતું કે જેમ વધારે મહિના કે વર્ષો બાળક ધાવ્યું હોય તેમ તેમનો માનસિક વિકાસનો સ્કોર વધુ હોય છે. ઘણાબધા અભ્યાસ આ બાબતે થયા છે. મૂળ વાત એ છે કે સ્ત્રીઓ ધવડાવવા અને બાળકો ધાવવા માટે ઓછામાં ઓછું ત્રણ વર્ષ તો ઉત્ક્રાન્તિના ક્રમમાં ઇવોલ્વ થયેલા જ છે, અને વધુમાં વધુ પાંચ વર્ષ. કારણ પાંચ વર્ષ પછી દૂધમાં રહેલું લેક્ટોસ પચાવતું એન્ઝાઈમ બનતું બંધ થઈ જતું હોય છે. એટલે જેટલું વધારે સમય બાળક ધાવ્યું હોય તેમ તેનો માનસિક વિકાસ વધુ નોંધાયો છે. એટલે જે માતાઓએ બાળકને બિલકુલ નાં ધવડાવ્યું હોય તે અને ફક્ત થોડા મહિના બાળકને ધવડાવ્યું હોય તે માતાઓ એક જ નાવમાં સવાર છે, એમના બાળકોનો લાંબાગાળે માનસિક વિકાસ લગભગ સરખો જ હોય છે.”

લાંબું ભાષણ આપી શાંતિભાઈ ઊંડા શ્વાસ લેવા લાગ્યા. તો મંજુબેન એક ચિત્તે બધું સાંભળીને એમના દીકરાની વહુ જે ફક્ત છ મહિનામાં જ ધાવણ છોડાવી દેવાનું વિચારતી હતી એને કઈ રીતે સમજાવવી તે વિચારી રહ્યા હતા. આજકાલની જનરેશનને એમ સીધું કહી દેવાથી માની જાય તેવી હોતી નથી. હું એમની સમસ્યા સમજી ગયો હતો. મેં શાંતિભાઈને કહ્યું આ મંજુબેન હવે અહીં આવીને ઈ-મેલ વગેરે વાપરતા થઈ ગયા છે. નવરાં હોય ત્યારે કોમ્પ્યુટર પર બેસે પણ છે તો એમને તમે કરેલા અભ્યાસની લિંક જે હોય તે ઈ-મેલમાં મોકલી આપો. મંજુબેન તે બધી લિંક એમની વહુને ફૉર્વર્ડ કરી દે. વહુ જાતે જ વાંચી અભ્યાસ કરી નિર્ણય લે તે યોગ્ય છે.

મંજુબેન ખુશ થઈ ગયા, કહે રાઓલભાઈ તમે સરસ ઉપાય બતાવ્યો એમ જ કરવું પડશે. જોઈએ અમારો પ્લાન સફળ થાય છે કે કેમ? હાલ તો આટલું વિચારી અમે છુટા પડ્યા.

કાયદો પહેલો કે માણસ?

 untitledકાયદો પહેલો કે માણસ?

ભારતમાં પહેલા માણસ જોવાય છે, પછી કાયદો. હું એકવાર વડોદરામાં ન્યાયમંદિર બાજુ ફરતો હતો. પદ્માવતી શોપિંગ સેન્ટર બાજુથી એક કાયનેટીક હોન્ડા જેવા સ્કૂટર માથે ત્રણ છોકરા બેઠેલા ધમધમાટ કરતા લહેરીપુરા ગેટ બાજુથી સાધના ટૉકીઝ બાજુ જતા હતા. હું ત્યાં ફુવારા પાસે ઊભો હતો. ત્રણ સવારી અને તે પણ લાઇસન્સ ના હોઈ શકે તેવડા ત્રણ છોકરા જોઈ ત્યાં ઊભેલા એક સામાન્ય પોલીસવાળાએ પેલાં છોકરાઓને ઉભા રાખી ત્યાંની ભાષા પ્રમાણે મેમો આપી દીધો. થોડી રકઝક ચાલી, છોકરાઓ દાદાગીરી કરવા લાગેલા. પછી મને જાણવા મળ્યું કે સ્થાનિક ધારાસભ્યનો છોકરો સ્કૂટર ચલાવતો હતો અને એના મિત્રો પાછાં બેઠેલા હતા. વાત આગળ વધી ગઈ, બીજે દિવસે જાણવા મળ્યું કે પેલાં પોલીસવાળાને સસ્પેન્ડ કરવા સુધી વાત પહોચી ગયેલી, ધારાસભ્ય સમાધાન કરવા રાજી નહોતા, એક ધારાસભ્યના છોકરાને અટકાવવા બદલ તેને પૂરી સજા કરવાની હતી પણ મોટા સાહેબોએ દરમ્યાનગીરી કરી હોય કે પોલીસવાળો કરગરી પડ્યો હોય તેની ત્યાંથી બદલી કરી નાખવામાં આવેલી. મારા એક રીલેટીવ દાંડિયા બઝાર બાજુ એક પોલીસ ચોકીમાં ફોજદાર હતા તો હું કોઈ વખત ત્યાં બેસવા જતો. તેમણે પણ ઉપરોક્ત બનાવની ચર્ચા કરતા કહ્યું પેલાં પોલીસવાળાએ પ્રેક્ટીકલ બનવું જોઈતું હતું. ધારાસભ્યનાં છોકરા જોડે પંગો નહોતો લેવા જેવો..

આ જે કાયદાપાલનમાં પ્રેક્ટીકલ બનવાની માનસિકતા સમગ્ર ભારતમાં છે તે ઓળખી લેવી જોઈએ. હું પોતે પણ આ સિસ્ટમમાં ૫૦ વર્ષ જીવ્યો જ છું. ભારતમાં માણસ પહેલો જોવાય છે કાયદો પછી જ્યારે અમેરિકામાં કાયદો પહેલા જોવાય છે માણસ પછી, કાયદા આગળ લગભગ માણસ જોવાતો જ નથી કે તે કોણ છે? એટલે આ બે દેશો વચ્ચે કાયદાપાલનની બાબતમાં જે મૂળભૂત ડિફરન્સ છે તે ઓળખી લેવો જોઈએ. એટલે દેવયાની જેવા કહેવાતા મોટા માથાને અમેરિકન સરકાર એક સામાન્ય માનવીની જેમ કાયદાપાલન વિષે ટ્રીટમેન્ટ આપે ત્યારે સમગ્ર ભારતની એવરીજ માનસિકતાને ધક્કો લાગે છે. માનવી સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલો છે અને સમૂહને વ્યવસ્થિત ચલાવવા કાયદા-કાનૂન, નિયમો બનાવવા પડતા હોય છે. એકલદોકલ વ્યક્તિ એના ફાયદા માટે આખા સમાજનો નિયમ તોડે તો સમાજ ખોરવાઈ જવાનો.

કાયદા આગળ સર્વ સમાન તેવું આપણી માનસિકતામાં જલદી ઊતરે જ નહિ માટે નક્કી કોઈ કાવતરું હશે તેવું માનવા મન પ્રેરાય છે. અને કાવતરું જ છે તેવું સાબિત કરવાના પ્રયત્નો પણ ચાલુ થઈ જતા હોય છે. એમાં આખો દેશ તણાઈ જાય કારણ આખા દેશની માનસિકતા સરખી જ રહેવાની. મીડિયા હોય કે સોશિઅલ મીડિયા હોય કે નેતાઓ હોય એવરીજ માનસિકતા તો સરખી જ હોય ને? અરે આવી ભેદભાવભરી સિસ્ટમમાં જેને અન્યાય થયા હોય તેમની માનસિકતા પણ એવી જ હોય છે. બહુ ઓછા લોકો આ દેશમાં એવું માનતા હોય છે કે કાયદો બધા માટે સરખો હોવો જોઈએ. અહીં તો ધર્મે ધર્મે, સંપ્રદાયે સંપ્રદાયે, કોમે કોમે, નાતે-જાતે કાયદા અલગ અલગ હોવા જોઈએ તેવું માનવાવાળો દેશ છે. અને અમીરો માટે તો કાયદાની આમેય ક્યાં જરૂર છે? મુકેશ અંબાણીની એસ્ટોન માર્ટીન ચાર જણને ચગદી નાખશે તો શું થવાનું? જસ્ટ દાખલો આપું છું. મુકેશનો છોકરો દારુ પી ને કાર ચલાવતો હશે તો કોઈ ભાડૂતી ડ્રાઇવર એની જગ્યાએ આવી જશે. આ અમેરિકા થોડું છે કે બુશ પ્રેસિડન્ટ હોય છતાં એની છોકરીને કોર્ટમાં જવું પડે? અને એને કોર્ટમાં લઈ જનારા પોલીસને કોઈ ચિંતા જ ના હોય?

  એટલે ભારતમાં વાહન લઈ જતા હોઈએ અને કોઈ પોલીસ રોકે તો પહેલા તો એના તેવર જુદા હોય. પછી જ્યારે નામ દઈએ, પિતાશ્રીનું નામ દઈએ, કઈ કોમ કે નાત ધરાવીએ છીએ તે કહીએ એટલે તેના તેવર બદલાઈ જાય. હું તો રાઓલ અટક અને ગામ માણસા કહું એનામાં તરત નમ્રતા આવી જાય. આપણે પણ ફુલાઈને ચાલતી પકડીએ. એટલે પહેલીવાર અમેરિકામાં આઠ વર્ષે પોલીસવાળાએ રોકી મને કહ્યું “ સર ! તમારે કારમાંથી ઊતરવાની જરૂર નથી, હું ફલાણો પોલીસ ઓફિસર છું અને તમે આ જગ્યાની બાંધેલી સ્પીડ કરતા વધુ સ્પીડે કાર ચલાવી છે માટે તમારું લાઇસન્સ અને કારનું રજિસ્ટ્રેશન વગેરે આપો.” મને તો એણે ‘સર’ કહ્યુંને મજા પડી ગઈ. છતાં મને ખબર હતી કે ગુનાની ગંભીરતા કે પરિસ્થિતિ જોઈ આ જ પોલીસવાળો મને રોડ પર ઊંધા પાડી એના સ્વખર્ચે વસાવેલી હાથકડી પહેરાવતા જરાય વાર નહિ કરે.

આપણે ત્યાં લાલુઓ, દત્તો, સલમાનો માટે કાયદાપાલન બાબતે જુદા કાટલાં છે અને બબલો, છગનીયો, ભીખલો કે મગનીયા માટે કાટલાં જુદા છે. એટલે બધા માટે કાટલાં સરખાં હોય તેવું આપણી માનસિકતામાં અચેતનરૂપે ઊતરે જ નહિ. એટલે પછી લાલુઓ, દત્તો, સલમાનો માટે બબલો, છગનીયો, ભીખલો અને મગનીયો કાવતરા કરી રહ્યા હોય તેવું લાગતું હોય છે. એટલે અમેરિકાની કાયદાપાલન સિસ્ટિમ આપણા દિમાગમાં ઊતરતી નથી અને અમેરિકા ભારતને નીચું પાડવા કાવતરા કરી રહ્યું હોય તેમ સામાન્ય પ્રજાજનોને પણ લાગતું હોય છે.

આ પ્રીત ભરારા ઇન્ફન્ટ એટલે તાજું જન્મેલું બચ્ચું હતા અને અમેરિકા આવી ગયેલા. એમની સમજમાં કે બ્રેનમાં હોય જ નહિ કે દેવયાની જેવા મોટા ઓફિસર અને મોટા માથા પર કાયદાકીય પગલા લેવા પાપ કહેવાય. દેવયાની અને એની નોકરાણી સંગીતા રીચાર્ડનાં કેસ વિષે આપણે ન્યાય તોલવા બેસવાની જરૂર નથી. તે બધું જે તે સત્તાવાળા અને જે તે ન્યાયાધીશો કરશે. મારે તો જસ્ટ માનસિકતાની વાત કરવી છે. દેવયાની અને સંગીતા બંને વધતાઓછા દોષી હશે જ. પણ અમેરિકામાં સંગીતા એક નોકરાણી છે ગરીબ છે અને દેવયાની એક કૉન્સ્યુલેટ છે, ડિપ્લોમેટ છે અમીર છે તેવા ધારાધોરણ ધ્યાનમાં લેવામાં આવશે નહિ અને ભારતમાં આ બધું ધ્યાનમાં લેવામાં આવશે. ભલે અમેરિકાએ સદીઓ સુધી ગુલામો રાખ્યા હશે પણ આજે અમેરિકા સ્લેવરિ બાબતે ખૂબ સેન્સીટીવ છે. ફેડરલ ગવર્નમેન્ટ નક્કી કરે તેના કરતા ઓછા પગાર આપવો સ્લેવરિ જેવું ગણાય.

તમે મોદી સરકારના એક સામાન્ય પોલીસવાળા હોવ અને ખુદ મોદી કારમાં સીટ બેલ્ટ બાંધ્યા વગર જતા હોય તો મેમો આપી શકો ખરા? સપનામાં પણ એવો વિચાર આવે નહિ. અમેરિકામાં ડ્રાઈવરે અને કારમાં આગળ બેઠેલાએ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત છે. અહીં પ્રમુખ પદ્ધતિ છે માટે રાજ્યના ગવર્નર સીધા પ્રજા દ્વારા ચૂંટાયેલા અને ભારતના કોઈ મુખ્યમંત્રી જેવા સર્વેસર્વા જ સમજી લો. ન્યુ જર્સીના ગવર્નર કોરઝાઈનને એના જ પોલીસવાળાએ બેલ્ટ ના બાંધવા બદલ ટીકીટ(મેમો) આપી દીધેલો.

અહીં અમેરિકામાં ભારતીયોનું શોષણ બીજા ભારતીયો દ્વારા જ થતું હોય છે. મોટેલોમાં અને સ્ટોરોમાં એના ભારતીય માલિકો દ્વારા એમના ભારતીય નોકરોનું બેફામ અને માનવતા નેવે મૂકીને શોષણ કરાતું  હોય છે. પણ એમાં તેરી બી ચુપ મેરી બી ચુપ જેવો ઘાટ હોય છે. ફેમિલીફાઈલો ઉપર અમેરિકા આવી ગયેલા નિરક્ષર ભારતીયો જે મળે તે અને જ્યાં મળે ત્યાં કામ કરવા રાજી હોય છે. અહીં કોઈ કામ નાનું કે મોટું ગણાતું નથી માટે કરવામાં તો શું શરમ રાખવાની? પણ જે મળે તે કામ કરી લેવાની મજબૂરીનો જબરદસ્ત લાભ ભારતીયો જ લેતા હોય છે. કોઈ શ્વેત-અશ્વેતનું શોષણ તમે કરી શકો નહિ. કોર્ટના ધક્કા ખાતા કરી મૂકે. એટલે અભણ, વૃદ્ધ અને અશક્ત ભારતીયોનું શોષણ આપણા ભારતીયો જ કરતા હોય છે. ડીસ્ક્રીમીનેશન અહીં મોટો ગુનો છે. સ્ત્રીઓના મોઢા ના જોવાય પણ પુરુષનું નિતંબશોષણ કરવામાં જરાય વાંધો નહિ તેવી પવિત્ર માનસિકતા ધરાવતા સંપ્રદાયનાં સંતો એક ભારતીયની મોટેલમાં એમના પવિત્ર વાઈબ્રેશન ફેલાવી તેને કૃતાર્થ કરવા પધાર્યા ત્યારે પેલાં ભારતીય મોટેલ માલિકે એમની અશ્વેત કર્મચારી એવી મહિલાને સ્થળ છોડી જવા ફરમાન કરેલું. પેલી મોટેલસ્થળ છોડી કોર્ટસ્થળે પહોચી ગયેલી એમાં પેલાં ભારતીય મોટેલ માલિકને બહુ મોટો દંડ untitled-=-ભોગવવો પડેલો.

શોષણ થવા દેવા માટેની તમારી મજબૂરીઓને લીધે તમે કેસ કરો નહિ તો સરકારને ક્યાંથી ખબર પડવાની હતી? જો તમને જ તમારું શોષણ મંજૂર હોય તો સરકાર શું કરવાની હતી? ભારતમાં આપણને કોઈ બેપાંચ હજાર પગારમાં રાખવા તૈયાર ના હોય અને અહીં અમેરિકા ૨૫-૩૦ હજાર રૂપિયા આપી લાવવા તૈયાર થઈ જાય તો એકંદરે લાભ બંનેને છે. પણ આ ૨૫-૩૦ હજાર એટલે આશરે ૫૦૦ ડોલર તે પણ મહીને અહીંના ધારાધોરણ મુજબના કહેવાય નહિ. આટલાં તો અઠવાડિયે મળવા જોઈએ.

વધુ પડતા આત્મવિશ્વાસમાં એકવાર ૯/૧૧ ઘટના બની ગયા પછી અમેરિકા વધુ પડતું સાવચેત થઈ ગયેલું છે. અને તે જરૂરી છે. આપણા ફિલ્મી ટાયડા કે લઘરવઘર ફરતા નેતાઓના માન સાચવવાની લ્હાયમાં અમેરિકન પ્રજાની સુરક્ષા હોડમાં મૂકે તેવું અમેરિકા નથી. આ લેડી ગાગા મુંબઈથી અમદાવાદ રોડરસ્તે એના કાફલા સાથે આવતી હોય તો મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પર એની કોઈ ચકાસણી થાય ખરી? ચાલો એના બદલે સુનિધિ ચૌહાણ કે શ્રેયા ઘોષાલ હોય તો પણ કોઈ તપાસે નહિ. પણ અહીં લેડી ગાગા એક સ્ટેટ બદલી બીજા સ્ટેટમાં જતી હોય તો કુતરાઓની આખી ફોજ સાથે પોલીસ એના કાફલાની પૂરી ચકાસણી કરી લે, એમાં લેડી ગાગા પણ હસતી હસતી સહકાર આપે. ઘણીવાર જરૂરિયાત નિયમો બનાવી લેવા પ્રેરતી હોય છે. આંતરવસ્ત્રો તપાસવાના પહેલા કોઈ નિયમો હતા નહિ. પણ કોઈએ આંતરવસ્ત્રો અને ગુપ્તાંગોનાં ખાડાખૈયામાં કશું છુપાવ્યું હશે જે મળ્યું હશે માટે બધું તપાસવાના નિયમો બની ગયા હશે. સમાજની સુરક્ષા માટે બનાવેલા નિયમોનું આકરું પાલન આપણી સમજમાં જલદી ઊતરતું નથી કારણ આપણે ત્યાં માણસ એનું સ્ટેટ્સ એના પૈસા બધું પહેલા ગણતરીમાં લેવાય છે કાનૂન પછી.

હું એવું નથી કહેતો કે અમેરિકા ભૂલો નથી કરતું કે બહુ મહાન છે પણ આપણે ત્યાં માણસ પહેલા જોવાય છે પછી કાયદો જ્યારે અહીં કાયદો પહેલા ગણતરીમાં લેવાય છે માણસ પછી માટે આ બેસિક તફાવત ધ્યાનમાં રાખવો જોઈએ.. જો કે માણસ જાતના ઇતિહાસમાં ડીસ્ક્રીમીનેશન કરવામાં સદીઓથી અવ્વલ નંબરે રહેલી પ્રજાના મનમાં આ વાત જલદી નહિ ઊતરે તે પણ હકીકત છે.

નોંધ: મિત્રો જમણા હાથે કોણીમાં ફ્રેકચર છે નિયમિત લખવું મુશ્કેલ છે, એક હાથે તે પણ ડાબા હાથે લખવું અઘરું છે છતાં ટ્રાય કર્યો છે.

ચુંબનમીમાંસા

 ચુંબનમીમાંસા

136497-136496Kiss me and you will see how important I am,” Sylvia Plath (October 27, 1932 – February 11, 1963) was an American poet, novelist and short story writer) નામની ફક્ત ત્રીસ વર્ષની ઉંમરે દુનિયા છોડી ગયેલી એક કવિયત્રીની આ એક પ્રસિદ્ધ પંક્તિ છે. આ એક સ્ત્રીની સંવેદના છે કે એક ચુંબન કરો પછી ખયાલ આવશે કે તે કેટલી મહત્વની છે. એક ચપટી સિંદૂરની કિંમત તો હવે દંભ બનીને રહી જવાનો છે, એની શરૂઆત થઈ ચૂકી છે પણ એક ચપટી ચુંબન તો કાયમ કિંમતી રહેવાનું જ છે. સખ્યભાવ અને સૌજન્ય દર્શાવવા, માન આપવા અને માતા-પિતા દ્વારા કરાતાં ચુંબનો સિવાય કામોદ્દીપક ચુંબનો દરેક સંસ્કૃતિમાં માન્ય છે. આખી દુનિયામાં બહુમતી લોકો આવું શૃંગારિક ચુંબન કરતી વખતે ઉત્તેજના, આનંદ, અણઆવડત, કઢંગાપણું, વૈચારિક ગભરાટ મહેસૂસ કરતા હોય છે. મુખરસ(સલાઇવ) અને જમતી વખતે સલાડની આપલે જેવો અનુરાગનો આચાર ઇચ્છનીય પળો તરીકે મહત્વનો હોય છે. ચુંબન કામકેલીનું અવિભાજ્ય અંગ છે.

136497-136466અમુક વિશેષજ્ઞોનું માનવું છે કે સંભવિત સેક્સ્યૂઅલ પાર્ટનરની ઇન્ફર્મેશન એકઠી કરવાના મેકનિઝમ તરીકે ચુંબન ઈવૉલ્વ થયેલું છે. ચુંબન શારીરિક સજ્જડ નિકટતા પ્રદાન કરતું હોય છે, એટલું નિકટવર્તી કે તમે સૂંઘી શકો અને સ્વાદ પણ લઈ શકો. આપણી રોગપ્રતિકારક શક્તિઓ અને જિનેટિક સંબંધિત માહિતી ધરાવતા ગૂઢ રસાયણોનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ આપણા ચહેરાની આસપાસ વધુ હોય છે. આપણી લાળ(saliva) હોર્મોનલ સંદેશાઓ ધરાવતી હોય છે. વ્યક્તિના શ્વાસની મહેક, ઓષ્ઠની લહેજત, અને દંતસ્પર્શ સંવેદના વ્યક્તિની તંદુરસ્તી અને હાઇજિન પ્રત્યે ઇશારા દર્શાવી સંતાનોત્પાદક સુયોગ્યતા જતાવતી હોય છે.

માનસિક રીતે જોઈએ તો ચુંબન વ્યક્તિ પ્રત્યેની નિકટતા, ગાઢ અંગતતા અને વિશ્વાસની અભિવ્યક્તિને બળવત્તર કરતું હોય છે. આમ ચુંબન ઘ્રાણેન્દ્રિય અને સ્વાદેન્દ્રિયને સમીપતાનાં ઉત્સવમાં ભાગ લેવા આમંત્રિત કરી એને વધુ ઊંડાણ અર્પતું હોય છે. વધારામાં ચુંબન બીજી વ્યક્તિને આપણા નાજુક અંગત સ્થાન એવા મુખમાં પ્રવેશ આપી ચેપી રોગ પામવાનું જોખમ લેવા સંમતિ દર્શાવતું હોય છે. આવી રોગ પામવાની શક્યતા હોય છતાં ચુંબન થવા દેવા મતલબ સામેની વ્યક્તિ પર વિશ્વાસ હોય છે, એક નિકટતા હોય છે. ખાસ તો ચુંબન સ્ત્રીઓમાં રહેલી સૂગને(Disgust) દૂર રાખવા પ્રેરતું હોય છે. મતલબ માનસિક નિકટતા વગર ચુંબન શક્ય હોતું નથી. માટે માનસિક સમીપતા વગરની સેક્સ્યૂઅલ પ્રવૃત્તિઓમાં ચુંબન ખાસ સામેલ થતું નથી. સેક્સ વર્કરને એના ક્લાયન્ટને ચુંબન કરવામાં કે કરાવવામાં જરાય રસ હોતો નથી. ધંધાના ભાગરૂપે કરે તે જુદી વાત છે.

ચુંબન એટલે કામોદ્દીપક મોહક પ્રલોભન, સ્ત્રીઓના હોઠ અને ઓષ્ઠ્ય ધ્વનિને નકારવાનું બહુ મુશ્કેલ. લાલ રંગ આમેય કામોત્તેજક હોય છે. માટે સ્ત્રીઓ એને લાલ રંગે

Sylvia Plath
Sylvia Plath

રંગતી હોય છે. પુરુષોને ભીનું ચુંબન કરવાનું ગમતું હોય છે માટે ચુંબનમાં પુરુષો જિહ્વાની સામેલગીરી સ્ત્રીઓ કરતા વધુ ઇચ્છતા હોય છે. ભીનું મુખ અને એમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરતી જિહ્વા કામોત્તેજના વધારી સમાગમને વિશિષ્ઠ બનાવી દે છે. પુરુષોને ભીનું ચુંબન વધુ ગમતું હોય છે કેમકે પુરુષોનાં મુખરસમાં testosterone હોય છે જે સ્ત્રી અને પુરુષ બંનેમાં કામ ઉદ્દીપન માટે જવાબદાર હોય છે જેથી ભીના ચુંબન દ્વારા પુરુષ એનું testosterone સ્ત્રીનાં મુખમાં પ્રવેશ કરાવી એની કામોત્તેજના વધારી મૂકવાનું કામ કરતો હોય છે.

ઇવલૂશનરી ઍન્થ્રપૉલજિસ્ટ હેલન ફિશર (Rutgers University, New Jersey) કહે છે ચુંબન વિકાસના ક્રમમાં સંતાનોત્પાદક વ્યૂહરચના તરીકે ત્રણ તબક્કાઓમાં કામ કરે છે. એક તો ચુંબન કામોત્તેજના વધારી બહુવિધ(મલ્ટિપલ) પાર્ટનર સાથે સંભોગ કરવા ઇચ્છા પ્રેરક બનતું હોય છે. ત્યાર પછી રોમૅન્ટિક પ્રેમની ભઠ્ઠીમાં ઈંધણ ઉમેરી એને વધારે પ્રજ્વલિત કરી બહુવિધ પાર્ટનરમાંથી એક પસંદ કરી તેના પ્રત્યે મોહ ઉત્પન્ન કરવા પ્રેરક બનતું હોય છે. અને પછી તે પાર્ટનર સાથે મજબૂત સામાજિક જોડાણ(ફેવિકોલ બૉન્ડ) વધારી બંને પાર્ટનરનાં Genes ધરાવતા સંતાનો ઉછેરવા પ્રેરકબળ બનતું હોય છે.

 Robert Gallup (University of Albany, New York) અને તેમના સાથીઓએ કરેલા સંશોધન મુજબ શૉર્ટ ટર્મ હોય કે લોંગ ટર્મ સ્ત્રીઓ માટે ચુંબન વધુ મહત્વ ધરાવતું હોય છે. રોમૅન્ટિક રિલેશનશીપ માટે સુંદર ચુંબન એકલું પૂરતું હોતું નથી પણ સ્ત્રીઓ પરનો અભ્યાસ બતાવે છે કે ચુંબન કરનાર પુરુષ પાત્રની ગંધ અને સ્વાદ પણ વધુ વજન ધરાવતો હોય છે જે આગળ ચુંબન કરવા દઈને સંબંધ આગળ ધપાવવા મદદરૂપ બને. આમ અસફળ ચુંબન સંભવિત સાથી ગુમાવવાનું કારણ પણ બની શકે. પુરુષને ચુમ્બનમાં અને સ્ત્રીને ચુંબનની ગુણવત્તામાં વધુ રસ હોય છે. પુરુષ ચુંબન પછી સીધો સમાગમની ઇચ્છા ધરાવતો હોય છે. અને ચુંબન સમાગમ તરફ દોરી જાય તેને good kiss સમજતો હોય છે. આમ પુરુષ ચુંબન માટે ઉતાવળો હોય છે અને ચુંબન પછી સમાગમમાં ઊતરવાનું દબાણ સ્ત્રીને કરતો હોય છે, એની ફરિયાદ સ્ત્રીઓને રહેતી હોય છે.

સ્ત્રીઓ માટે ચુંબન કીમતી હોય છે. ઓવુલ્યેશન સમયે  સંભવિત પાર્ટનરની ઇન્ફર્મેશન ભેગી કરવાનો અનકોન્શયસ તરીકો એટલે ચુંબન. જે સ્ત્રી અને પુરુષ પોતાને આકર્ષક ગણાવતા હોય તેઓ ચુંબનને વધુ મહત્વ આપતા હોય છે. જે લોકો વધુ આકર્ષક હોય છે તેઓ પાસે સેક્સૂઅલ ઑપ્શન પણ વધુ હોય તે સ્વાભાવિક છે. તો તેવા લોકો માટે પાર્ટનર પસંદ કરવા અને તેને લલચાવવા માટે ચુંબન એક ટૂલ(tool) બની જતું હોય છે. શૉર્ટ ટર્મ રિલેશનશીપ માટે સમાગમ દરમ્યાન કે સમાગમ પછી કરાતા ચુંબન કરતા સમાગમમાં ઊતરતા પહેલાનું ચુંબન વધુ મહત્વનું બની રહેતું હોય છે તેવું અભ્યાસ બતાવે છે. જ્યારે લોંગ ટર્મ રિલેશનશીપમાં સમાગમ પહેલા, સમાગમ દરમ્યાન કે સમાગમ પછીનાં ચુંબનો સરખું જ મહત્વ ધરાવતા હોય છે તેવું અભ્યાસ જણાવે છે.

ચુંબન લોંગ ટર્મ રિલેશનશીપની ક્વૉલિટી સુધારવામાં પણ મહત્વનું બની રહેતું હોય છે. Kory Floyd ( Arizona State University) કરેલા સંશોધન મુજબ વધુ ચુંબન કરવાનું સૂચવ્યા પછી તે સૂચના અમલમાં મૂક્યા પછી તે લોકોના કલેસ્ટરૉલ અને સ્ટ્રેસ હૉર્મોન ઘટ્યા હતા. Wendy Hill (Lafayette College  Pennsylvania) કરેલા સંશોધન મુજબ રોજનું પંદર મિનિટ ચુંબન કરનાર લોકોના stress hormone cortisol લેવલમાં ઘટાડો નોંધાયો હતો. તારણ એવું નીકળે છે કે ટૂંકા ગાળાના સંબંધમાં ચુંબન સમાગમ તરફ વધુ ઝોક ધરાવતું સંભવિત સાથીની પસંદગી અને પ્રલોભન તરીકે વપરાતું જણાય છે. જ્યારે લાંબા ગાળાના સંબંધમાં ચુંબન માનસિક સમીપતાની અભિવ્યક્તિ તરીકે અને સંબંધમાં નિકટતા વધારવામાં બહુ કામ લાગે છે. પુરુષ માટે ચુંબન સીધું સેક્સમાં ઉતારવાનો ગેટવે અને ઓવરટાઈમ ઘટાડવાનો નુસખો જ્યારે સ્ત્રીઓ માટે ચુંબન વધુ મહત્વનું, તંદુરસ્ત પાર્ટનરની પસંદગી અને સંબંધ લાંબો લાંબો સમય ટકાવી રાખવાનું તેને બળવત્તર બનાવવાનું મહત્વનું પ્રેરકબળ બનતું હોય છે. પુરુષને ચુંબન સાથે સેક્સમાં વધુ રસ હોય છે જ્યારે સ્ત્રીને ચુંબન વખતે સેક્સ કરતા જે તે પુરુષના સ્વાદ અને સુગંધમાં રસ વધુ હોય છે.136497-136494

આ ચુંબનમીમાંસાનો વારંવાર પાઠ કરનારનું કલેસ્ટરૉલ ઓછું થશે, વધારે હશે તો ઓછું થશે બાકી સરખું જ રહેશે, સ્ટ્રેસ હૉર્મોનમાં ઘટાડો થવાથી સ્ટ્રેસ પણ ઓછો થશે. અલ્યા ભાઈઓ અને બહેનો આનો વારંવાર પાઠ કરવાને બદલે પોતપોતાના જીવનસાથીને ચુંબનો વધુ ચોડશો તો ફાયદો થશે. આ કોઈ સત્યનારાયણની કથા નથી તે રોજ રોજ જપ્યા કરવાથી ફાયદો થાય. વાંચો વંચાવો અમલમાં મુકો.

Bhupendrasinh Raol, Edison NJ.  11 November 2013

સંજય લીલા ભણશાળીની સર્જનાત્મક બૌદ્ધિક બદમાશી

સંજય લીલા ભણશાળીની સર્જનાત્મક બૌદ્ધિક બદમાશી

પીંઢારા શબ્દ વિષે કેટલા જાણતા હશે? આ શબ્દ શેના માટે વપરાય છે તે પણ મોટાભાગના લોકોને ખબર નહિ હોય. ભણેલા ગણેલા અને રાજકીય બાબતોમાં રસ ધરાવનાર લોકોમાં આ શબ્દ થોડોઘણો પ્રચલિત છે એનું કારણ બ્રિટનના બીજા વિશ્વયુદ્ધ સમયના વડાપ્રધાન ચર્ચિલ છે. કારણ ભારતને આઝાદી આપવાના નિર્ણય સામે તે સમયના બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન ઍટલીને આ ચર્ચિલે કહેલું કે તમે ઠગ અને પીંઢારાઓને રાજ પાછું આપી રહ્યા છો. ચર્ચિલનું આ વાક્ય ઇતિહાસમાં અમર થઈ ગયું છે. અને આપણા નેતાઓએ આ વાક્ય સાચું પણ પાડ્યું કે ખરેખર ચર્ચિલ સાચો હતો. સ્વિસ બેન્કોમાં પડેલા ભારતના લોકોની પરસેવાની કમાણીના ૧૫૦૦ બિલ્યન ડૉલર્સ એની સાબિતી છે. હવે તો સમજાઈ ગયું હશે કે પીંઢારા શબ્દ શેના માટે વપરાતો હશે.

મૂળ પીંઢારા મુઘલ બાદશાહોનાં મોટાભાગે નામ પાછળ ખાન લગાવતા પઠાણી સૈનિકો હતા. કાળક્રમે પગાર આપવાના ફાંફાં પડી જતા છૂટાં મૂકી દેવાયેલા ભૂખ્યા વરુઓ. મુસલમાન ઇતિહાસકાર ફીરીસ્થાએ ઈ.સ.૧૬૮૯માં નોંધ્યા મુજબ  ઔરંગઝેબના લશ્કરમાં મુસલમાન પઠાણોની અમુક ટુકડીઓ સામાન્ય નાના નાના કામો માટે રાખવામાં આવતી હતી. મુસલમાનો નબળા પડ્યા ને મરાઠાઓ મજબૂત થયા ત્યારે આ ટુકડીઓ મરાઠાઓના લશ્કરમાં કામ કરવા લાગી. છત્રપતિ શિવાજી સુધી તો એમની સેવાઓ લીધી નહોતી,  પણ બાલાજીરાવે ગર્દીખાનની રાહબરી નીચે આ લોકોને સેવામાં રાખ્યા. આ લોકોનું કામ યુદ્ધ પત્યા પછી સામી છાવણીઓમાં આતંક ફેલાવવાનું અને લૂંટફાટ મચાવી બધું સળગાવી દેવાનું રહેતું. એટલે પીંઢારાનો જન્મદાતા ઔરંગઝેબ અને એમનો વિકાસ કરનારા  પાલનહાર એટલે મરાઠા.

લુટારાઓની  કોઈ જાત હોતી નથી. નર્મદાનો ખીણ પ્રદેશ આ લોકોનો ગઢ હતો. સંતાડેલા ગુપ્ત ધનની માહિતી ઓકાવવા પીંઢારા માણસના નાક અને મુખમાં ગરમ કોલસા અને રાખ ભરતા, એની સ્ત્રી પર બળાત્કાર કરતા, એના બાળકના તલવાર વડે બે ભાગ કરી નાખતા. ગામના મુખીને પકડીને આખી રાત ટૉર્ચર કરતા જેથી ગામના લોકો વધુને વધુ ધન આપે, મુખીનું એક એક અંગ ધીમે ધીમે કાપતા અને છેવટે એનું હૃદય કાઢી લેવામાં આવશે તેવી ચેતવણી આપતા. આ પીંઢારાઓનો નાશ મરાઠી રાજાઓનો સહકાર લઈને અંગ્રેજોએ કરેલો એના માટે અંગ્રેજોને થેન્ક્સ કહેવા જોઈએ.

હવે સલમાનખાનનું ‘વીર’ મુવી જેણે જોયું હશે તેને ખયાલ આવી જશે કે આ ખાન બંધુઓએ કેવી રીતે સર્જનાત્મક બૌદ્ધિક બદમાશી કરી છે. કદાચ એમના મૂળિયા આ પીંઢારાઓમાં હોવા જોઈએ. એટલે ‘વીર’ મુવીમાં પીંઢારાઓને દેશભક્ત અંગ્રેજોમાં સામે સ્વતંત્રતાની લડાઈ લડતા વીર સૈનિકો બતાવી દીધા. ઇતિહાસની માબેન સર્જકતાને બહાને કરી નાખી. ફિલ્મ શરુ થતા લખી નાખવાનું કે આ કાલ્પનિક વાર્તા છે કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહિ. પણ લોકોના મનમાં દ્રશ્યશ્રાવ્ય મીડિયાની ભયાનક અસર પડતી હોય છે. આપણે જોએલું  જલ્દી સાચું માની લેતા હોઈએ છીએ ભલે પડદા ઉપરનું હોય. ફિલ્મોમાં કે ટીવીમાં દ્રૌપદીનાં ચીર પૂરતા કૃષ્ણને જોઈ કોઈને વિચાર નહિ આવે કે તે ૫૦૦૦ વર્ષ પહેલાના જમાનામાં સુરતની સાડીઓ હતી નહિ.

મિત્ર રાજીવ જોશીનું કહેવું છે કે “સામ્યવાદની અસર હેઠળ બંગાળી ફિલ્મ નિર્માતાઓએ જમીનદાર કાયમ ખરાબ, વ્યાપારી અને પૂજારી હંમેશા લુચ્ચો સાથે ભારતની ગરીબી અને ઝૂપડપટ્ટીઓનું ચિત્રાંકન કરી વિદેશોમાંથી ખૂબ એવૉર્ડ ભેગાં કરેલા. મુસ્લિમ ચાચા હમેશાં ઈમાનદાર, હીરો મંદિરમાં ના જાય પણ ૭૮૬ના  બિલ્લાને આખો દિવસ માથે લગાવ્યા કરે અને અડ્ડા બધા માઈકલનાં જ હોય.”

મૅમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છે તે સોશિઅલ સાયન્સની રીતે જોઈએ તો જૈવિક સત્ય છે. પોતાના સમૂહથી છુટું પડેલા કોઈ પણ મૅમલ પ્રાણીનાં બ્રેનમાંથી તરત સ્ટ્રેસ કેમિકલ કૉર્ટીસોલ છૂટવા લાગે છે તે સંભવિત જોખમનો ઉપાય કરો તેની સૂચના આપતું હોય છે. જલ્દી સમૂહમાં પાછાં ભળી જાઓ નહીતો માર્યા જશો તેવી ચેતવણી આપતું હોય છે. ટોળાથી વિખૂટું પડેલું ઘેટું તરત મેં મેં કરવા લાગતું હોય છે. બીજા મૅમલ પ્રાણીઓ કરતા માનવો મોટું વિચારશીલ બ્રેન ધરાવે છે એટલે બહુ મોટી કૉમ્પલેક્ષ સમાજ વ્યવસ્થા ધરાવે છે. પહેલો સમૂહ વ્યક્તિનું અંગત કુટુંબ હોય છે, માબાપ અને એમના સંતાનો. એના કરતા થોડો મોટો સમૂહ કાકાબાપા પિતરાઈ ભાઈઓ વગેરેનો સમૂહ હોય છે. પછી સમૂહ વિસ્તરતા એકજ બ્લડ લાઈન ધરાવતી જ્ઞાતિ અને વંશ આવે. વળી આવા અલગ વંશ કે જ્ઞાતિ ભેગી થઈને વસતું ગામ પણ એક જાતનો વિશાલ ફલક પરનો સમૂહ જ ગણાય. આમ પ્રાંત અને દેશ પણ બહુ મોટા મોટા ફલક પરના સમૂહ કહેવાય.

પ્રાણીઓને બહુ વિચારવાનું હોતું નથી માટે એમની સમાજ વ્યવસ્થા બહુ જટિલ હોય નહિ. માનવી ખૂબ વિચારે છે માટે એની સમાજ વ્યવસ્થા બહુ જટિલ હોય છે. માનવીનો પ્રૉબ્લેમ હોય છે કે અમુક સમય સમૂહમાં રહીને પણ એકલો જીવવા માંગતો હોય છે. મોટા સમૂહના રક્ષણ સાથે બહુ નાના ગૃપમાં રહેવાની ઇચ્છા ધરાવતો હોય છે. કોઈ લગ્ન કે પાર્ટીમાં સૌ પોતાના નાના ગૃપ બનાવી બેસી જતા હોય છે. સામાજિક બહિષ્કાર વખતે જીવના જોખમ જેટલું જ જોખમ એનું બ્રેન અનુભવતું હોય છે. ગામ, પ્રાંત કે દેશમાં જુદા જુદા સમૂહો ભેગાં જ રહેતા હોય છે છતાં આ સમૂહો એકબીજા વડે જોખમ અનુભવતા હોય છે. એકબીજાની સાથે રહેવું છતાં એકબીજા વડે જોખમ-થ્રેટ અનુભવવાનું સામાન્ય હોય છે.

ઘરમાં લડતા ભાઈઓ કુટુંબ સામું પડે ત્યારે એક થઈ જતા હોય છે. કુટુંબમાં લડતા વ્યક્તિઓ પણ ગામનાં લોકો લડવા આવે ત્યારે એક થઈ જતા હોય છે. મોટા સમૂહ તરફથી થ્રેટ અનુભવાય તો નાના નાના સમૂહ એક થઈને મોટો સમૂહ બનાવી મુકાબલો કરતા જ હોય છે. આ થીઅરી જુઓ તો બીજા રાજ્ય તરફથી જોખમ અનુભવાય તો સમગ્ર ગુજરાત અમે ગુજરાતી તરીકે એક થઈ જવાનું ભલે રોજ અંદર અંદર લડતા હોય. આમ જ પાકિસ્તાન સામે આખું ભારત એક થઈ જવાનું તે વખતે આમચી મુંબઈ, જય જય ગરવી ગુજરાત કે જય મહારાષ્ટ્ર જેવા મંત્ર ભુલાઈ જતા હોય છે. ત્યારે ભારત માતાકી જય સહુ પોકારવા લાગશે. કોઈ પરગ્રહવાસી ચડી આવે તો સમગ્ર પૃથ્વી પરના માનવ સમૂહો કે જેને આપણે દેશો તરીકે ઓળખીએ છીએ તે એક થઈ જવાના. નાના સમૂહના સ્વાર્થ કરતા મોટા સમૂહનો સ્વાર્થ કે ફાયદો ઉત્તમ ગણવામાં આવતો હોય છે, એને આપણે પરમાર્થ કહેતા હોઈએ છીએ. કુટુંબ માટે વ્યક્તિઓ બલિદાન આપતા હોય છે. રાષ્ટ્ર માટે જાતિવાદ અને પ્રાંતવાદ ભૂલી જવો પડતો હોય છે. સમાજ મતલબ પોતાના મોટા સમૂહ માટે વ્યક્તિગત ફાયદા ભૂલીને સમાજના હિતમાં કામ કરે તેને પરમાર્થ કહેવાય. વ્યક્તિગત હિત જવા દઈને આખા ગામ કે જેમાં બીજા સમાજો પણ રહેતા હોય છે તેવા સમગ્ર ગામ, રાજ્ય કે દેશ માટે કામ કરે તેને સ્વાભાવિક ઊંચું ગણવામાં આવે.

   ચાલો આટલાં પિષ્ટપેષણ પછી મૂળ વાત પર પાછાં ફરીએ. ૧૯૯૯માં કચ્છનાં નખત્રાણા તાલુકામાં બિબર ગામમાં થયો હશે કોઈ વિખવાદ બાવજીભા જાડેજાનું ભણસાલી કોમની ટોળીએ ખૂન કર્યું. ત્યાર પછી સામે બદલો લેવાની કાર્યવાહી તો થવાની એમાં ગામ સળગ્યું અને સામે કેટલાક ભણશાળીની પણ હત્યાઓ થઈ. આપણે જાણીએ છીએ કે આ બધું ખોટું જ થયું છે. ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલી આ નખત્રાણા તાલુકાના બિબર ગામનો. એમનું મોસાળ રાજસ્થાનમાં છે. જાડેજા દરબારો અને કચ્છી ભણસાલી વચ્ચેની આ જૂની પણ બહુ જૂની પણ ના કહેવાય તેવી દુશ્મની સંજય લીલા ભણશાલીનાં દિમાગમાં રમતી તો હોય જ.

ભાનુશાળી કહો કે ભણસાલી કહો હિંદુઓમાં વૈશ્યની કેટેગરીમાં આવતા મૂળ હાલ પાકિસ્તાનમાં ગણાતા સિંધના બલુચિસ્તાન બાજુથી કચ્છમાં આવેલા. કોઈ ચોક્કસ ઇતિહાસ મળતો નથી પણ સિકંદર ભારત પર ચડી આવ્યો તે સમયે સલામતી ખાતર અંતરિયાળ ગણાતા કચ્છમાં આવીને વસ્યા હશે. ઘણા મુઘલ કાળમાં કચ્છમાં વસ્યા હશે તેવું પણ કહે છે. સિંધ તે સમયે બૉર્ડર પર ગણાય એટલે બૉર્ડર પર વસવાટ આમેય અઘરો એટલે સલામતી ખાતર કચ્છમાં આવી ગયા હશે. વસવાટના આધારે કચ્છમાં વસેલા કચ્છી ભાનુશાળી અને હાલાર(જામનગર) વસેલા હાલારી ભાનુશાળી કહેવાતા હોય છે. કચ્છમાં સેંકડો વર્ષોથી જાડેજાઓનું રાજ હતું. એમ જામનગરમાં પણ જાડેજા વંશ રાજ કરતો. કચ્છમાંથી જામનગર બોલાવી ભાનુશાળીઓને વસાવનારા પણ જામનગરના જાડેજા રાજવીઓ જ હતા. જામનગર અને કચ્છના જાડેજા રાજાઓએ આ કોમને પાળી પોષી વસવાટ કરવાની સગવડો આપી તે જાડેજા દરબારો માટે આ રીતે ખરાબ ચિત્રાંકન કરી દુશ્મની કાઢવી અને તે પણ ફક્ત એક ગામના બે કોમ વચ્ચેના વિખવાદને લઈને? કેટલું યોગ્ય છે?

પણ આ સર્જક બહુ ચાલાક છે. રામલીલા મુવી બનાવ્યું એમાં મુખ્ય અભિનેત્રી જાડેજા ફૅમિલીની બતાવી પણ મુખ્ય અભિનેતા ભણસાળી કોમનો બતાવે એટલો મૂરખ તે છે નહિ. આ લવ સ્ટોરીનું સ્ત્રી પાત્ર જાડેજા પણ પુરુષ પાત્ર રબારી કોમનું બતાવી દીધું. વળી બે કોમ વચ્ચે ૫૦૦ વર્ષ જૂની દુશ્મની બતાવી દીધી. દરબારો અને રબારીઓ વચ્ચે દુશ્મનીનો કોઈ ઇતિહાસ છે જ નહિ. ઉલટાના રબારીઓ તો રાજપૂતોની બેન દીકરીઓના વળાવિયા તરીકે એમનું રક્ષણ કરવાનું કામ કરતા અને જરૂર પડે રાજપૂતોની દીકરીઓ માટે જીવ પણ આપી દેતા. તો સામે પક્ષે ગોપાલક રબારીઓની ગાયોનું રક્ષણ કરવા આ રજપૂતોએ પોતાના માથા આપ્યા છે. જે બે કોમ હજારો વર્ષોથી સંપીને રહી હોય તેના વચ્ચે દુશ્મની હોય તેવો ઇતિહાસ બતાવી દેવો તે પણ ફિક્શનના બહાને કેટલો વાજબી છે? હજુ તો ફિલ્મ રજૂ થઈ નથી ત્યાં રાજપૂત અને રબારી સમાજ એકબીજા વડે થ્રેટ અનુભવવા લાગ્યો છે. જે સમાજો એકબીજાના કદી દુશ્મન હતા નહિ તે હવે દુશ્મન બનશે. એની શરૂઆત થઈ ચૂકી છે.

એક મિત્ર સાવજરાજ સોઢા જણાવે છે, “રબારી અને જાડેજા રાજપૂત સમાજ વચ્ચે જે આજસુધી સંબંધો રહ્યાં છે એવાં કોઈ પણ સમાજો વચ્ચે સૌહાર્દ અને આત્મીય સંબંધો નહી હોય. પણ રામલીલાની ચર્ચા પછી એ બંને સમાજ કટ્ટર દુશ્મન જેવાં બની ગયાં છે.. આપ તે સમયની ફેસબુક પરની રબારીઓ અને રાજપૂતોની ચર્ચા જોજો ગાળો સિવાય ભાગ્યે કાંઈ હશે.. આ સમાજોમાં ફેલાયેલી કડવાશ માટે જવાબદાર કોણ? માત્ર રામલીલા. ભુજ રામલીલાનાં વિરોધ વખતે બંને સમાજ વચ્ચે ઝગડો થયો આઠેક જણાં ઘાયલ થયાં જવાબદાર કોણ…??? રામલીલા.” જે ફિલમ હજુ આ લખાય છે ત્યાં સુધી રજૂ થઈ નથી, રજૂ થશે પછી શું થશે?

લખેલું વંચાય એવું કહેવાય છે તેમ જોએલું મનાય તે પણ એટલું જ સાચું છે. ભલે આપણે લાખવાર કહીએ કે કાલ્પનિક સ્ટોરી છે પણ દ્રશ્યશ્રાવ્ય માધ્યમ બહુ પાવરફુલ હોય છે. એ સીધું તમારા બ્રેનમાં ઊતરી જશે. તમારા ન્યુરૉન્સને જકડી લેશે. આપણે જાણીએ છીએ કે આ પડદા પર દોડતા ચિત્રો છે છતાં ફિલ્મના કરુણ દ્ગશ્યો જોતા જોતા આપણે રડતા હોઈએ છીએ. હોરર મુવી જોઇને હાર્ટઍટેક આવ્યાનાં અને મરી ગયાના દાખલા પણ નોંધાયેલા જ છે.

આ વાર્તા કાલ્પનિક છે અને એમાં આવેલા પાત્રો સાથે કોઈ સામ્યતા દેખાય તો અકસ્માત સમજવો તેવું કેટલા સમજતા હશે? આવી સૂચનાઓ ભૂલી જવાતી હોય છે. આવી સૂચનાઓ ભવિષ્યમાં આવનારા વિવાદો ટાળવા પૂરતી જ લખાતી હોય છે. ફિલ્મોના બનાવટી પાત્રો સાથે આત્મીયતા બંધાઈ જતી હોય છે. એક સમભાવ કેળવાતો હોય છે. હું કોઈ ગુંડાને મારી શકતો ના હોઉં પણ બચ્ચનને મારતો જોઈ મને અચેતનરૂપે હું મારતો હોઉં તેવું લાગે. હું બચ્ચન સાથે ઇન્વોલ્વ થઈ જતો હોઉં. આમ મારી ગુંડાને મારવાની ઇચ્છાની પાદપૂર્તિ થઈ જાય. ફિલમ જોઈને એક તૃપ્તિ સાથે બહાર નીકળીએ ત્યારે હેપી હેપી થઈને નીકળીએ કે મજા આવી ગઈ. પણ શેની મજા આવી તે ભલે કૉન્શિયસલી ના સમજાય પણ મજા આવી ગઈ તેટલું તો સમજાઈ જાય છે.

ફિલ્મો જોઈ કોઈ હિંસા કરતું નથી. ક્યાંક કોઈ બનાવ બન્યો હશે બાકી મોટાભાગે આપણી અંદર રહેલી હિંસાનું હિંસક ફિલ્મો જોઈ કૅથાર્સિસ થઈ જતું હોય છે. ફિલ્મોના દુઃખી પાત્રો સાથેનાં દુઃખો સાથે આપણા દુઃખોની સામ્યતા કેળવાઈ જતી હોય છે. હીરોના કરુણ મૃત્યુ સાથેનો અંત જોઈ રડતા રડતા ભલે બહાર આવીએ પણ એક અજાણ્યો ના સમજાતો તૃપ્તિનો ઓડકાર ખવાઈ જતો હોય છે. કારણ દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક કહેવાતા દુઃખો અને કરુણ અંત સમાયેલા જ હોય છે. ચાલો આપણે એકલાં દુઃખી નથી બીજા પણ આપણા જેવા છે જ. મૃત્યુ પામતા હીરો પ્રત્યે આપણી અંદર રહેલી કરુણા વહેવા લાગતી હોય છે. આપણે ભૂલી જઈએ છીએ કે આ હીરો તો હજુ જીવે છે ખાલી પડદા પર મર્યો છે. ‘આનંદ’ આજે પણ હીટ છે. રાજેશખન્નાનું ‘બાબુ મોશાય’ આજે પણ કાનમાં એટલું જ ગુંજે છે.

કાલ્પનિક ફિલ્મોની પડતી મનોવૈજ્ઞાનિક અસરોની અવગણના તમે કરી શકો નહિ. આ ભારતીય સમાજ છે, અહીં એક કાલ્પનિક ફિલ્મ બનાવી સંતોષી માતા ઉભા કરી શકાય છે. આ ભારતીય સમાજ છે જ્યાં કાલ્પનિક કવિતા લખી ‘રાધા’ ઊભી કરી શકાય છે અને તેની પાછળ આખા દેશને ગાંડો કરી શકાય છે. મેં તો ત્રણ વર્ષ પહેલા લખેલું કે રાધા મહાભારત, હરિવંશ પુરાણ કે ભાગવતમાં ક્યાંય નથી. ઑથેન્ટિક ગણવામાં નહિ આવતા એવા બ્રહ્મવૈવર્ત પુરાણમાં રાધા કૃષ્ણની મામી છે. છતાં એક જયદેવ કાલ્પનિક રાધાનું સર્જન કરી આખા દેશને પાગલ બનાવી શકે છે. હવે જો સદીઓ પહેલા લખેલી એક કવિતા પાછળ જો દેશ ગાંડો બની શકતો હોય તો આવી દ્રશ્યશ્રાવ્ય ફિલ્મ બનાવી શું ના કરી શકાય?

ભણસાળી અને દરબારો વચ્ચેની દુશ્મની તે પણ એક ગામ પૂરતી છે તેને મિટાવવાનાં પ્રયત્નો  કરવાને બદલે આ સર્જકે આખા કચ્છ અને સૌરાષ્ટ્રના દરબારો અને રબારીઓ વચ્ચે દુશ્મની ઊભી કરી દેવાનો હીન પ્રયત્ન કર્યો છે. એની આ હીનતા રબારીઓ અને દરબારોએ ઓળખી લેવી જોઈએ અને અંદર અંદર લડી એની આ હલકટ ચાલમાં આવી જવું ના જોઈએ. આ દેશમાં એક ગાય વાછરડાનું ચૂંટણી પ્રતીક મૂકીને લોકોને ઈમોશનલી છેતરી ચૂંટણી જીતી શકાય છે. રામના રથ કાઢી લોકોની ધાર્મિક ભાવનાઓનો વેપલો રાજકીય હેતુ માટે કરી શકાય છે. લોકોએ એમના ન્યુરૉન્સ વાપરવા જોઈએ.

આ દેશમાં જ્ઞાતિવાદ સજ્જડ છે. જ્ઞાતિ એક સમૂહ છે અને મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છે તે હકીકત ભૂલવી ના જોઈએ. જ્ઞાતિવાદના પ્રકાર બદલાશે પણ સમુહવાદ તો જીવતો રહેવાનો જ છે. પણ તમે એટલું કરી શકો કે એક જ્ઞાતિને બીજી જ્ઞાતિ કરતા ઊંચી કે નીચી ના માનો. વ્યક્તિગત કે નાના સામૂહિક સ્વાર્થને જતા કરી મોટા સામૂહિક સ્વાર્થમાં બદલી પરમાર્થ જેવું નામ આપી શકો. વ્યક્તિગત કે નાની નાની સામૂહિક ભક્તિ સાથે ક્રમશઃ મોટી ને મોટી સામૂહિક ભક્તિ વધારી એને રાષ્ટ્રપ્રેમ તરફ વાળી શકો છો. છેવટે માનવતાવાદ તરફ પણ આજ રીતે જઈ શકાય. કવિશ્રી ઉમાશંકર જોશી પાછલી જીંદગીમાં એમને વિશ્વમાનવ તરીકે ઓળખાવતા હતા. કેટલી ઊંચી સંવેદનશીલતા કહેવાય?

આપણે ત્યાં કોમવાદ સજ્જડ છે માટે રાષ્ટ્રવાદ કમજોર છે. માણસ નાના નાના સમૂહ બનાવીને તો રહેવાનો જ છે પણ વર્ણવ્યવસ્થાના સજ્જડ ધારાધોરણોની જરૂર નહોતી. અહીં દરેક કોમની ચોક્કસ ડેફીનેશન છે, કે વાણિયા એટલે આવા, દરબાર એટલે આમ, બ્રાહ્મણ એટલે આવા, પટેલ એટલે આવા એમાય કડવા એટલે આવા અને લેઉંઆ એટલે આવા. હવે પટેલને તમે મખ્ખીચૂસ કહી શકો ખરા? આ ડેફીનેશન બહાર તમે બતાવો એટલે જે તે સમાજ તરત થ્રેટ અનુભવી વિરોધ કરવાનો જ છે. જાડેજાની દીકરીને અશ્લીલ હરકતો કરતી કે ભાષા બોલતી બતાવો એટલે તરત તે સમાજ થ્રેટ અનુભવી વિરોધ કરવાનો.

સિંધના સુમરા(મુસ્લિમ રાજવી)એ તેના તાબાના કોઈ ગામની મુસ્લિમ દીકરીઓની લાજ લૂટવા માટે બંદી બનાવેલી ત્યારે તે બધી ગમે તેમ નાસી જઈને કચ્છમાં આવી અને ત્યારે અબડાસાના જામ અબડાજી જાડેજા એ તેમને આશરો આપીને યુદ્ધ કરેલ અને વિજય મળેલ અને તે દિવસ અષાઢી બીજ હતી અને તે દીકરીઓ ને મુક્ત કરાવીને નવું જીવન આપવા બદલ તે દિવસને કચ્છી નવું વર્ષ તરીકે ઊજવાય છે. ભણશાળીઓને કચ્છમાં અને જામનગરમાં સુખરૂપ વસાવનારા આ જાડેજા રાજાઓ જ હતા.

દરબારોએ એમની રીતે આ ફિલ્મનો વિરોધ કર્યો. શક્તિ પ્રદર્શન થયું, તોડફોડ થઈ, જાહેર હિતની અરજી થઈ. પણ સામે સંજય લીલા કપિલ સિબ્બલ અને એના જેવા બીજા 001[1]મહારથીઓને લઈને આવી ગયો. કોર્ટે ચુકાદો આપ્યો કે જાડેજા અને રબારી શબ્દો ફિલ્મમાંથી કાઢી નાખવા. એડીટીંગ કરીને ફિલ્મ રજૂ કરવી. પણ એનો કોઈ અર્થ નથી. રબારી શબ્દ કાઢી નાખશે પણ રબારી ડ્રેસકોડ કઈ રીતે બદલશે? દરબારનો જે ડ્રેસકોડ વપરાયો હશે તે ક્યાંથી કાઢી નાખશે? સદીઓથી રબારીને ઓળખવા અહીં નામની ક્યાં જરૂર હતી? કોર્ટે ખરેખર આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા જેવો હતો. ગુજરાત પૂરતો તો મૂકી જ શકાય. સામસામે થોડા માણસો મરે તેની કોર્ટ કદાચ રાહ જોતી હશે.

 બસ અહીં જ દરબારો અને રબારીઓએ સંયમ રાખી અહિંસક વિરોધ કરી સંજય લીલા ભણશાલીની બે કોમ જે કદી એકબીજા સાથે લડી જ નથી તેને લડાવી મારવાની ચાલમાં આવી ગયા વગર સંપીને રહેવું જોઈએ.

રાઓલ ભૂપેન્દ્રસિંહ રતનસિંહ,

એડિસન, ન્યુ જર્સી.

 ૪ નવેમ્બર ૨૦૧૩.

સંઘર્ષ (કૉન્ફ્લિક્ટ) ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ

untitledસંઘર્ષ (કૉન્ફ્લિક્ટ) ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ

સમાજનો બહુ મોટો વર્ગ હમેશાં કૉન્ફ્લિક્ટ થી દૂર રહેતો હોય છે. સંઘર્ષ ટાળતો હોય છે. અથડામણમાં પડવું નાં પડે તેના ઉપાય કર્યા કરતો હોય છે. થોડા દિવસ પર ગુજરાતમાં તેમાં પણ અમદાવાદ જ હશે, કોઈ મૅનેજમેન્ટ સંસ્થાના ઉપક્રમે કૉન્ફ્લિક્ટ વિષે ચિંતન શિબિર ચાલતી હતી, તેમાં જુદાજુદા ક્ષેત્રના વક્તાઓ બોલવા આવતા હતા. તેમાં કોઈ સાધુ કે ગુરુ પણ આવેલા. બધે સાધુઓ શું કામ બોલાવતા હશે મને સમજાતું નથી. પણ તે મહારાજ ઉપજાવી કાઢેલો દાખલો આપતા હતા, કે એક કપલ ટ્રેનમાં બેઠેલું, કોઈ સ્ટેશન આવતા ચા પીવા ઊતર્યું હશે, ટ્રેન ઊપડી પેલાં ભાઈ ચડી ગયા અને એની વાઈફ નીચે રહી ગઈ. મહારાજે કટાક્ષ માર્યો મૅનેજમેન્ટ ભણેલા શ્રોતાઓ આગળ કે આ ભાઈએ રામાયણ વાંચી હોત તો આવું નાં થાત. મને ખૂબ હસવું આવ્યું આ વાત ‘સંદેશ’માં વાંચીને. હું ત્યાં હાજર હોત તો બાવાજીને કહેત કે આણે રામાયણ વાંચી હશે કે સાંભળી હશે માટે આવું થયું હશે. રામે સીતાજીને વગર વાંકે છોડી જ દીધેલા ને? બીજા કોઈ બહેનજીએ ભાષણ એમાં આપેલું કે ગીતામાં એનો ઉપાય છે. આખું મહાભારત કૉન્ફ્લિક્ટ ઉપર તો રચાયું છે. બે ભાઈઓના વંશજો વચ્ચે બહુ મોટો સંઘર્ષ હતો.. કૃષ્ણે શક્ય પ્રયાસ કૉન્ફ્લિક્ટ ટાળવા કર્યા. પણ તે સર્વાઈવલનાં ભોગે નહિ.. સર્વાઈવલ બે રીતે થાય છે. એક તો કૉન્ફ્લિક્ટ સ્વીકારી એનો પડકાર ઝીલીને, અને બીજો શરણે થઈ કૉન્ફ્લિક્ટ ટાળવો. અર્જુન તો હથિયાર હેઠાં મૂકી કૉન્ફ્લિક્ટ ટાળવા તૈયાર હતો. ત્યારે કૃષ્ણે ઊલટો અથડામણ માટે એને તૈયાર કર્યો. શરણે થઈ જીવવું તે પણ અર્જુન જેવા જન્મજાત લડવૈયા માટે મૃત્યુથી બદતર બની જાત. એ જિના ભી કોઈ જિના હૈ લલ્લુ?  ટેમ્પરરી ભાંગી પડેલા અર્જુન પાસે કૉન્ફ્લિક્ટ સ્વીકારવા અને એનો સામનો કરવા તૈયાર કર્યો તેનું નામ ગીતા.

રામે પણ રાવણ જેવા બાહુબલિ નેતા આગળ સંઘર્ષ ટાળ્યો નથી..એનો સામનો કર્યો છે, સંઘર્ષમાં ઊતર્યા છે અને જીત્યા છે. પણ સમાજનો મોટો વર્ગ હમેશાં કૉન્ફ્લિક્ટ ટાળવાની કોશિશ કરતો હોય છે. કારણ આપણા પૂર્વજો બને ત્યાં સુધી અથડામણ ટાળતા. આપણા પૂર્વજોના જીવન સહેલા નહોતા. એલ્ફા ચિમ્પૅન્ઝી એના વિરુદ્ધ કોઈ જાય તો બરોબર ઝૂડી નાખતો હોય છે. ચિમ્પૅન્ઝીનાં ગ્રૂપમાં લગભગ દરેક સભ્યે કોઈને કોઈ અંગ ગુમાવેલું હોય છે. સંઘર્ષ વગર ખોરાક મળતો નહિ, કે અથડામણ કર્યા વગર ફીમેલ મળતી નહિ. ચાલો એક સમયે ખોરાક તો મળી જાય imagesCADFYXMMપણ બીજા સાથે સંઘર્ષ વગર ફીમેલ તો મળતી જ નહિ. પણ સંઘર્ષ કરવામાં જીવ ગુમાવવો પડે તો સૌથી વધુ નુકશાન. એટલે મૅમલ બ્રેન જાણતું જ હોય છે કે ક્યારે સંઘર્ષ કરવો અને ક્યારે અથડામણ ટાળવી. મૅમલ બ્રેન સતત પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યા જ કરતું હોય છે કે ક્યારે લડવું અને ક્યારે શરણે થવું. બે મૅમલ ભેગાં થાય એટલે કમ્પેરીજન શરુ. પછી તે માનવી હોય કે બીજા એનિમલ. ધાર્મિક ચમ્પુઓને બોલાવી આશરે ૨૦૦ મિલ્યન વર્ષથી વિકસેલી અદ્ભુત લિમ્બિક સિસ્ટમ(મૅમલ બ્રેન)ને તમે આજે કૉન્ફ્લિક્ટ વિષે શિખામણ આપો હસવા જેવું છે ને? અને આ જ્યાં ને ત્યાં પગે લાગી ઉભા રહી જતા લોકો તમને એવું જ શીખવશે, કે કોઈપણ હિસાબે કૉન્ફ્લિક્ટ ટાળો, સહન કરો, આપણી તે સંસ્કૃતિ છે.

કૃષ્ણને ખબર હતી કે છેવટે પાંચ ગામ આપે તો ખાવાની સગવડ તો થઈ જશે અને પાંચ ગામના ધણી તરીકે માન પણ જળવાઈ જશે, આત્માનું હનન નહિ થાય. એટલે કૉન્ફ્લિક્ટ ટાળવા છેવટે પાંચ ગામ માંગ્યા પણ દુર્યોધન તસુભાર જમીન આપવા તૈયાર થયો નહિ તો પછી હે ! પાર્થ ઊભો થા ચડાવ બાણ અને સંઘર્ષનો સ્વીકાર કર. અને અર્જુન સામે સગાવહાલા જોઈ કેમ કંપી ગયો? કેમ ગાત્રો ગળી ગયા? સિદંતી મમ ગાત્રાણી..કેમ ગાંડીવ સરી પડ્યું? સામે સગાઓ નાં હોત તો ઝાલ્યો નાં રહેત જેમ હું ધાર્મિક કે સામાજિક પાખંડો સામે ઝાલ્યો નથી રહી શકતો. સામે બીજા હોત કે બીજા કોઈ દેશના દુશ્મનો હોત કે સગાઓ નાં હોત તો અર્જુન ક્યારનો ધડબડાટી બોલાવતો હોત. તો ગીતા રચાઈ પણ નાં હોત. મૂળ વાત એ છે કે Gene Pool જીનપુલમાં પોતાના Genes ની બહુમતી હોય, પોતાના વંશ કે genes સૌથી વધુ હોય તે દરેક પ્રાણી ઇચ્છતું હોય છે. આ પણ સર્વાઈવલનો એક ઉપાય છે. ભલે મારા ખુદના અંગત gene આગળ વધ્યા નાં હોય પણ મારા ભાઈના gene મારા જ gene કહેવાય. એટલે સામે સગા ભાઈઓ કે પિતરાઈ ભાઈઓ હોય તેમાં આપણા જ genes હોય છે તેમનો નાશ કરવો અઘરો લાગે. એટલે સામે સગાઓ જોઈ અર્જુન ઢીલો પડી ગયો. છતાં જીવન હમેશાં વિરોધાભાસ વડે ઘેરાયેલું હોય છે. ક્યારેક વ્યકિગત genes માટે વ્યક્તિગત સ્વાર્થ માટે બીજાનાં બલિદાન લેવાતા હોય છે તેમ સમૂહના સ્વાર્થ માટે કે ભલા માટે, સમૂહના genes માટે વ્યક્તિઓ ખુદના બલિદાન આપતા પણ હોય છે. પણ કૃષ્ણ જાણતા હતા કે ક્યારે સંઘર્ષ ટાળવો અને ક્યારે સ્વીકારી લડી લેવું. એટલે હું કાયમ કહેતો હોઉં છું કે કૃષ્ણ મારે મન કોઈ ભગવાન નહિ પણ સર્વાઈવલનાં યુદ્ધના મહાયોદ્ધા છે.

ક્યારેક હકારાત્મકતા ને બહાને કૉન્ફ્લિક્ટ ટાળવામાં આવતો હોય છે. સંઘર્ષ કરવામાં નકારાત્મકતા દેખાતી હોય છે. સામાજિક કે ધાર્મિક બદીઓ સામે તમે આંગળી ચીંધો તો અમુક વર્ગ તરત કહેવાનો કે સારું સારું જુઓ. ખરાબ સામે નાં જુઓ. હકારાત્મક બનો, પોજીટીવ બનો. સારી બાજુઓ ઘણી છે તેને ઉજાગર કરો. અરે ભાઈ બદીઓ સામે જોઈશું જ નહિ તો એને દૂર ક્યારે કરીશું? ગંદકી ગંદકી છે તેવી જાણ પણ હોવી જોઈ ને? આપણે એવી કેટલીય સામાજિક ગન્દકીઓને સંસ્કૃતિ કહીને પાળી રાખી છે. જે તે સમયે સામાજિક રિવાજો ભલે યોગ્ય લાગતા હોય આજે નાં પણ હોય. તેને બદલવા પડે કે નહિ? સામાજિક અને ધાર્મિક ઍલ્ફાઓએ એમના સ્વાર્થ માટે સમૂહના સ્વાર્થ જોખમમાં મૂકીને એવી કેટલીય સામાજિક અને ધાર્મિક ગંદકીઓને ધર્મ, પરમ્પરા અને સંસ્કૃતિમાં ખપાવી દીધી છે. હવે એના સામે કોઈ આંગળી ચીંધે તો નકારાત્મક વિચારો ધરાવે છે કહી રોકવામાં આવે છે. હવે જે સારું છે તે સારું જ રહેવાનું છે. એ કાઈ ખોટું થઈ જવાનું નથી. જરૂર છે ગંદું છે તેને ઉજાગર કરી સાફ કરવાની. હવે એમાં પછી કામ કરવામાં માનું છું તેવી દલીલ આવે છે. આંગળી નાં ચીંધો કામ કરો. હવે હું કે તમે દરેકના ઘર સાફ કરવા તો જવાના નથી. પણ ઘર સાફ કરી શકાય છે તેવો એક વિચાર તો મૂકી શકું છું. આતો જસ્ટ દાખલો આપું છું. એક તો પહેલું ઘર ગંદું છે તે જ ખબર હોતી નથી. અને ખબર પડે તો તેને સાફ કરી શકાય તે પણ ખબર હોતી નથી. ગંદું રાખવાની પરમ્પરા તોડી શકાય તેવી હિંમત પણ હોતી નથી.

કાર્લ માર્ક્સ શું ઘેર ઘેર ફરેલો સામ્યવાદ સમજાવવા કે અમલ કરાવવા? એક પુસ્તક રૂપે વિચાર મૂક્યો જેને સામ્યવાદ ગમતો હોય તે અમલ કરે. ગંદકી ગંદકી છે આ કોઈ પવિત્ર પ્રસાદ નથી તેવું કહેવાની હિંમત કરનાર, આંગળી ચીંધનાર આજે ભલે તમને નકારાત્મક લાગતો હોય સૌથી મોટું હકારાત્મક કામ તે જ કરી રહ્યો છે. ગંદકી આપણને સદીઓથી સદી ગઈ છે માટે ચોખ્ખાઈ રાખવામાં સ્વતંત્રતા હણાઈ જતી હોય તેવું લાગે છે, ગંદકી કરવાની સ્વતંત્રતા.. થૂંકવા માટે બે ડગલા ચાલી વોશબેસીન સુધી જવામાં જોર તો પડે જ ને? જાહેરમાં નાક ખંખેરવાની સ્વતંત્રતા કોઈ હણી લે તે ચાલે ખરું? અને જાહેરમાં નાક ખોતરવાની પરમ્પરા તો આપણી સંસ્કૃતિ છે તેના પર કોઈ તરાપ મારે તો નકારાત્મક અભિગમ કહેવાય કે નહિ? ડૉક્ટર ક્યાં નસ્તર મૂકશે? જ્યાં ગૂમડું હોય ત્યાં. ત્યારે એવું કહેવાના કે મારા પગે ગૂમડું છે તે નાં જુઓ, હકારાત્મક બનો મારા શરીરની સારી બાજુ જુઓ મારા બાવડા જુઓ કેટલા સરસ ફૂલેલા છે?

imagesCA1E1ID9મૂળ વાત વિવાદમાં પડવું નથી. વિવાદમાં પડવામાં જોખમ છે. ધર્મ અને સંસ્કૃતિના બની બેઠેલા રખેવાળો કાગારોળ કરવા માંડે છે. ગાળો ખાવી પડે છે. સર્વાઈવલ માટે થ્રેટ અનુભવાય છે. સામાજિક અસ્વીકારનું જોખમ ઊભું થઈ જાય છે. સામાજિક અસ્વીકાર એટલે ટોળાની બહાર નીકળી ભૂલું પડેલું ઘેટું બ્રેનમાંથી કૉર્ટીસોલ સ્ત્રાવ થતા બેં બેં કરવા માંડે તેવું સમજવું. ઍલ્ફાની નજરમાંથી ઊતરી જવામાં બહુ મોટું થ્રેટ અનુભવાય છે. બસ આ સામાજિક થ્રેટની બીકમાં વર્ષો સુધી લોકો સહન કરે જતા હોય છે. ખબર હોય છે ખોટું થઈ રહ્યું છે પણ સામાજિક રીતે એકલાં પડી જવાનો ડર એમને વર્ષો સીધું ચૂપ રાખવામાં કામયાબ બની જતો હોય છે. પછી જ્યારે લાગે કે હવે ઍલ્ફા નબળો પડ્યો છે હવે એના વિરુદ્ધ બોલીશું તો વાંધો નહિ આવે ત્યારે બોલવાની હિંમત આવે છે. એમાં દસ વર્ષ બળાત્કાર સહન કરતા નીકળી ગયા હોય. ત્યારે આપણને એના પર શંકા જાય કે અત્યાર સુધી કેમ નાં બોલી? ક્યાંથી બોલે? તમે ખુદ એ જગ્યાએ હોવ તો બોલો ખરા? એક બોલે પછી જેણે જેણે સહન કર્યું હશે તેઓનામાં થોડી હિંમત આવશે તે એક પછી એક બહાર આવશે.

સર્વાઈવલ માટે સંઘર્ષ કરતું મૅમલ સર્વાઈવલનાં જોખમે કદી સંઘર્ષમાં ઊતરે નહિ.

પવિત્ર લગ્નવ્યવસ્થા ડામાડોળ

134392-134202પવિત્ર લગ્નવ્યવસ્થા ડામાડોળ

જગતમાંથી પવિત્ર ગણાતી લગ્નવ્યવસ્થા હવે ડામાડોળ થઈ ચૂકી છે. યુરોપમાં હવે લુપ્તપ્રાય સંસ્થામાં એનો સમાવેશ થઈ ગયો છે. અમેરિકામાં હજુ એની સ્થિતિસ્થાપકતા જાળવી રાખી છે. છતાં ભારત જેટલી મજબૂત અમેરિકામાં રહી નથી. પણ યુરોપ કરતા એની સ્થિતિ અહીં થોડી સારી છે અને તે પણ મિડલ ક્લાસ પૂરતી. ૧૯૨૦મા અમેરિકામાં કોઈ એપાર્ટમેન્ટ કે ઘર આસપાસ કોઈ એકલાં યુવાન કે યુવતી રહેતા જોવા મળે તો લોકો ભયભીત થઈ જતા. પણ ૧૯૬૦મા તો બાળક ધરાવતી એકલી યુવતીઓ મોટા પ્રમાણમાં જોવા મળવાનું શરુ થઈ ચૂક્યું હતું. Senator Daniel Patrick Moynihan જેવા કહેવા લાગ્યા કે આ સિંગલ પેઅરન્ટહૂડને લીધે ડ્રગ અડિક્શન અને ક્રાઇમ વધી ગયા છે. કાર્યકારણ અને પારસ્પરિક સંબંધમાં ફેર હોય છે. સિંગલ મધરના બાળકો બીજા કરતા વધારે ક્રાઈમમાં સંડોવાયેલા હોય છે તેનું કારણ સિંગલ પેઅરન્ટહૂડ નહિ પણ સિંગલ પેઅરન્ટહૂડનાં લીધે મળતી ગરીબી હોય છે. સ્વીડન જેવા દેશમાં ચાઈલ્ડ પૉવર્ટી ખતમ થઈ છે ત્યાં સિંગલ પેઅરન્ટહૂડ અને ક્રાઇમ વચ્ચેનું અસોસિએશન પણ ખતમ થઈ ગયું છે.

લગ્ન કર્યા વગર કે ડિવોર્સ લઈને એકલાં બાળકો ઉછેરવાનું વધતું જાય છે તેનું મહત્વનું કારણ સ્ત્રી હવે કમાતી થઈ છે. ડિવોર્સ લઈ લેવાનું પણ મહત્વનું કારણ સ્ત્રી કમાતી થઈ છે તો સહન શું કામ કરે તે પણ છે. કમાતી હોય અને બાળકો એકલાં ઉછેરી શકવા સક્ષમ હોય તો લગ્ન કરવા જરૂરી રહે નહિ. યુરોપમાં બાળક ધરાવતી સિંગલ મધરનો રેશિયો ૧૯૯૦ અને ૨૦૧૦ વચ્ચે ડબલ કરતા વધુ(૧૭.૪ થી ૩૮.૩) થઈ ચૂક્યો હતો. યુએસમાં આ રેશિયો ૧૯૬૦ અને ૨૦૦૯ વચ્ચે ૫.૩ ટકાથી ૪૧ ટકા સુધી વધી ચૂક્યો હતો.

ધાર્મિક રૂઢીચુસ્તોને બાજુએ રાખીએ તો એક શ્રીમંત ચુનંદો વર્ગ એવો હોય છે જેના માટે લગ્ન એકલાં બાળકો પેદા કરવા માટે મહત્વનાં નથી પણ સાથે સાથે બાળકો માટે ભવ્ય શ્રીમંત વારસો ઊભો કરવાનો હેતુ પણ હોય છે. બે શ્રીમંત કુટુંબનાં સ્ત્રીપુરુષ લગ્ન વડે જોડાઈ જશે. લગ્નમાં ખૂબ ખર્ચો કરી એમની શ્રીમંતાઈનું પ્રદર્શન કરશે. આમ કરી સમાજમાં એમનું સ્ટેટ્સ ઊંચું છે તે જતાવશે. એમના બાળકો મોઢામાં સોનાના ચમચા લઈને જન્મશે..

સ્વીડન જેવા જ્યાં સમાનતા વધુ છે તેવી લોકશાહીમાં લગ્નની ચિંતા કર્યા વગર યુવાન યુવતીઓ ભેગાં રહેવા માંડતા હોય છે. જેટલી સાદાઈ અને સહજતાથી ભેગાં રહેતા થયા હોય તેટલી સાદાઈ અને સહજતાથી છૂટાં પણ પડી જતા હોય છે. અને એમનાં બાળકો સરકારની ઉદાર ચાઈલ્ડ સપોર્ટ આપવાની નીતિને કારણે મોટા થઈ પણ જતા હોય છે. એના લીધે ત્યાં બાળગરીબી કે બાળમજૂરી દૂરની વાત છે.

યુરોપની સરખામણીએ યુ.એસ.માં child poverty રેટ ઉંચો છે. એટલે મિડલ ક્લાસ લોકો માટે લગ્ન કરી જોડાયેલા રહી બાળકો ઉછેરવાનું મહત્વનું છે. મિડલ ક્લાસ નેબરહૂડમાં રહીને બાળકોને સારી સ્કૂલમાં ભણાવી શકાય. આમ યુરોપ કરતાં લગ્ન અહીં થોડું વધારે માન મેળવી જાય છે. આમ યુરોપમાં તો લગ્નસંસ્થા લગભગ તૂટી ચૂકી છે. અમેરિકામાં પણ મોટાભાગના લોકો લગ્ન કર્યા વગર જ સાથે રહેતા હોય છે. છતાં યુરોપ કરતા અહીં વધુ લોકો લગ્ન કરીને સાથે રહેતા હોય છે.

એક તો લગ્ન કરવાની આદર્શ ઉંમરમાં પાંચ થી દસ વર્ષનો વધારો થઈ ગયો છે. ધારોકે પહેલા ૨૫ વર્ષે લગ્ન કરતા તો હવે ત્રીસ વર્ષે કરતા થઈ ગયા છે. હવે તો ત્રીસ વર્ષે પણ લગ્ન કરવા વહેલું ગણતા હોય છે. ભારતમાં પણ લગભગ આવું જ થતું હોય છે. હું નાનો હતો ત્યારે છોકરાને ૨૦-૨૨ વર્ષે તો પરણાવી દેવામાં આવતો. પછી એડ્યુકેશનનું મહત્વ વધ્યું તો ૨૫ વર્ષ લગ્ન કરવાની આદર્શ ઉંમર મનાતી. છોકરીઓ માટે તો ૨૦ વર્ષ બહુ થઈ ગયા તેવું કહેવાતું. હવે એમાં પણ વધારો થયો જ છે. વર્લ્ડવાઈડ સ્ત્રીઓની લગ્ન કરવાની ઉંમર ૧૯૭૦ અને ૨૦૦૫ સુધીમાં ૨૩ થી ૨૯ થઈ ગઈ છે. આમ સ્ત્રીઓ ભણવા, કમાવા અને કેરિયર પ્રત્યે વધુ ધ્યાન આપતી થઈ છે. આમ સ્ત્રીઓ પણ લગ્ન મોડા કરતી હોય છે ડિવોર્સ ઝડપથી લેતી જોવા મળી છે.

લાંબા લગ્નજીવન ભવિષ્યમાં ઇતિહાસ બની જવાના. યુએસમાં પણ લાંબા સહજીવન ગાળતા હોય તેવા વૃદ્ધ જોડલા હજુ જોવા મળે છે. મૂળ અમેરિકા પચરંગી દેશ છે એટલે જે તે દેશનું કલ્ચર, પરમ્પરા રીતરિવાજ અને માન્યતાઓ ભાગ ભજવતી હોય એમાં કોઈ શક નહિ. સ્વાભાવિક છે કે મૂળ અમેરિકનો કરતા મૂળ ભારતીયોમાં ડિવોર્સનું પ્રમાણ ઓછું જ હોય. એમાં વર્ષો પહેલા આવેલા ભારતીયોના લગ્નજીવન લાંબા હોય તે પણ સ્વાભાવિક છે.

આખી જીંદગી એક જ પાત્ર સાથે જોડાયેલા રહીને લાંબું લગ્નજીવન માણવું બહુ જૂની વાત નથી. સારસ કે હંસ ભલે એક પાત્ર સાથે જોડી બનાવે માનવ એ ખાસિયત માટે બનેલો નથી તે હકીકત છે. ઍન્થ્રપલૉજિકલ રિસર્ચ પ્રમાણે હન્ટર-ગેધરર સમાજોમાં એક જ પાત્ર સાથે સહજીવન કાયમી નહોતા. આપણે ગમેતેટલાં હવામાં ઊડીએ અને મહાનતાની વાતો કરીએ ૧૦ થી ૧૫ હજાર વર્ષ પહેલા દુનિયાના બધા સમાજો હન્ટર-ગેધરર જ હતા. હું એક લગભગ અનાવૃત ફરતા આદિવાસી સમાજની ડોક્યુમેન્ટરી જોતો હતો. તેમાં દર બે વર્ષે પાત્ર વિધિવત્ બદલાઈ જતું. તે સમાજમાં રિવાજ જ એવો હતો.  સ્ત્રીએ બે વર્ષ થાય એટલે તત્કાલીન પુરુષ સાથી છોડી એકાદબે મહિના એકાંતમાં એક ઝૂંપડીમાં રહેવાનું પછી બીજા પુરુષ સાથે સામાન્ય વિધિવિધાન કરીને નવેસરથી રહેવાનું. સમાજ બહુ નાનો અને લુપ્તપ્રાય થતો જતો હતો. એટલે દર બે વર્ષે પતિપત્ની બદલાઈ જાય અને સમાજ સંખ્યામાં બહુ નાનો એટલે ગૃપના દરેક પુખ્ત પુરુષને ગૃપની દરેક પુખ્ત સ્ત્રી સાથે રહેવા મળી જતું. એમાં ગૃપના વૃદ્ધ પુરુષને બે વર્ષ યુવાન સ્ત્રી સાથે રહેવાનો ચાન્સ પણ મળી જાય. રોટેશન ચાલ્યા કરે. કોઈને મનદુઃખ થાય નહિ કે ભાઈ ભવિષ્યમાં જે તે સ્ત્રી સાથે કે પુરુષ સાથે બે વર્ષ ગાળવા મળવાના જ છે. અને બાળકો? બાળકો આખા સમાજના ગણાતા. બાળકોને ઉછેરવાની જવાબદારી આખા સમાજની. ખરો સામ્યવાદ કે સમાજવાદ મને અહીં દેખાણો.

લાંબા લગ્નજીવનની શરૂઆત ખેતીની શરૂઆત સાથે થઈ. લોકો જમીન માલિક બનવા લાગ્યા અને જમીનની માલિકી ભવિષ્યના ખોરાકની ગેરંટી બનવા લાગી. બધા ખેતર સરખાં હોય નહિ. કેટલાક ખેતરો વધુ ફળદ્રુપ હોય અને મોટા પણ હોઈ શકે તો અમુક ખેતરો નાના અને ઓછા ફળદ્રુપ પણ હોઈ શકે. માબાપ એમની દીકરીઓને સારા ખેતરો  સારી મિલકત હોય ત્યાં મોકલવા હરીફાઈ કરે તે સ્વાભાવિક છે. એના માટે ચૂકવવી પડતી કિંમત દીકરી લગ્ન કરીને સાથે લઈ જાય વિવિધ સ્વરૂપે, એમાં રોકડ હોય, દરદાગીના હોય અને વસ્તુઓ પણ હોય એનું રૂપાળું નામ એટલે દહેજ અને કરિયાવર. સમૃદ્ધ માબાપ સમૃદ્ધ કરિયાવર આપી સામે સમૃદ્ધ કુટુંબ સાથે ભાગ્યેજ તોડી શકાય તેવો સંબંધ બાંધી લેતા. સ્યૂટકેસ ભરીને સોનું લાવી હોય તે ગમેતેવી હોય તેની સાથે મરણપર્યાંત રહેવું જ પડે ને? અથવા ઢગલો પૈસા ખરચી વહુ લાવ્યા હોય તેને પણ કઈ રીતે છોડી શકો? બીજા ઢગલો રૂપિયા લાવવા ક્યાંથી? લગ્નવિચ્છેદ સ્ત્રી અને એના બાળકોને ઘર વગરના અને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દેતા હોય છે. માટે ખેતી પ્રધાન દેશોમાં ડિવોર્સનું પ્રમાણ ઝીરો હોય તેમાં કોઈ નવી વાત નથી. ખાસ તો સ્ત્રી જ્યારે અંગત રીતે કમાતી જ નાં હોય ત્યાં ડિવોર્સ લેવાનું વિચારી જ ના શકે. માબાપ પણ શિખામણ આપતા કે મરી જાય તો પણ ઘરનો ઉંબરો ઓળંગતી નહિ. કારણ ઘરનો ઉંબરો ઓળંગ્યા પછીની હાલત મૃત્યુથી પણ બદતર બનવાની છે. લાંબું લગ્નજીવન એટલે સુખી લગ્નજીવન સમજી લેવું નહિ. આવા લાંબા લગ્નજીવન સમાજે બાંધી આપેલી પ્રતિબદ્ધ જેલ સિવાય બીજું કશું હોતું નથી.

હન્ટર-ગેધરર સમાજોમાં વારસામાં આપવા માટે કોઈ માલમિલકત હોતી નથી ત્યાં લગ્ન બહુ સહેલાઈથી વિલીન થઈ જતા હોય છે. લગ્ન સાથે જોડાણ એક બાળક મોટું કરવા પૂરતું હોય છે. આધુનિક લગ્નો પણ લગભગ આશરે સાતેક વર્ષમાં ડિવોર્સમાં પરીણમતા જોવા મળે છે કે બાળક લગભગ મોટું થઈ ગયું છે. પક્ષીઓમાં બ્રિડીંગ સિઝન પૂરતું બોન્ડીંગ જોવા મળતું હોય છે. તેમ ઘણા બધા બાળકો ધરાવતા ફૅમિલીમાં અવતરતું દરેક નવું બાળક બ્રિડીંગ સિઝન બની કપલને હજુ વધુ સાથે રહેવા પ્રેરતું હોય તેમ બને. અને દરેક બાળકને મોટું કરવાની જવાબદારી પણ વધુ વર્ષો સાથે રહેવાની જરૂરિયાત ઊભી કરી જતી હોય છે. એટલે નાના બાળકો ધરાવતા માબાપ કરતા પુખ્ત બાળકો ધરાવતા માબાપ એકબીજા પ્રત્યે વધુ ફરિયાદ કરતા અને દુખી જોવા મળતા હોય તેવું પણ બનતું હોય છે. બાળક વગરના કપલ છૂટાં પડી જવાની શક્યતા વધુ હોય છે. જ્યારે ચારપાંચ બાળક ધરાવતા કપલ ભાગ્યેજ છૂટાં પડે. બાળકો પ્રત્યેની જવાબદારી કપલ વચ્ચે સ્ટીલ જેવું બોન્ડીંગ કરી શકે છે. પુરુષપ્રધાન સમાજમાં છોકરી કરતા છોકરો જન્મે તો વધુ સારું ગણાતું હોય છે. વધુ પડતી છોકરીઓ જન્મે તો લગ્નજીવન ભંગાણને આરે આવી જાય તેમ પણ બને.

જ્યાં બાળકો પેદા કરવા પ્રત્યે છોછ કે મનાઈ નથી કે નવા બાળકો પેદા કરે રાખવા સહજ છે ત્યાં લગ્નો સલામત છે. આધુનિક જમાનામાં આધુનિક કપલ ઓશિયાળા મલ્ટીપલ યંગ ચિલ્ડ્રન નામના ગુંદર વગર જીવતા હોય છે. આમ  low-fertility અને કમાતી સ્ત્રી લાંબા સહજીવન માટે ખતરો ઊભો થઈ જાય તેમાં નવાઈ નહિ.

ટૂંકમાં, lifelong marriage is assured for women who marry a subsistence farmer, fill the house with male children, and stay out of the paid work force.

जानामि अधर्मम न च मे निवृत्ति: ઍશોઆરામ……

 जानामि अधर्मम न च मे निवृत्ति:

“In biology nothing is more important than reproduction”, આપણા સર્વાઈવલનો આ છેલ્લો ઉપાય છે. સર્વાઈવલ માટે આખી જીંદગી લડવું પડતું હોય છે. સમૂહમાં રહેવું તે પણ સર્વાઈવલનો એક ઉપાય જ છે. સમૂહમાં રહેવાથી સર્વાઈવલની તકો વધી જાય. આપણા પૂર્વજો આપણા કરતા સર્વાઈવલ માટે ખૂબ વધુ જહેમત ઉઠાવતા હતા. પેદા કરેલા બાળકો પણ ખૂબ ઓછા બચતાં. આપણા પૂર્વજોમાં પ્રાણીઓ પણ ગણી જ લેવાના. આપણા જિન્સ જીવતા રાખવા તે જેટલા જુદી જુદી જગ્યાએ ફેલાય તેમ કરતા રહેવાની યોજનાઓ બનાવતા રહેવું પણ આપણા જિન્સમાં જ છુપાયેલું હોય છે. વધારામાં આપણી પાસે વિચારશીલ બ્રેન છે. પ્રાણીઓ સીધાસાદા ઉપાયો અજમાવતા હોય. પણ આપણે મોટું બ્રેન ધરાવતા હોશિયાર પ્રાણી હોવાથી જાત જાતની યુક્તિઓ ઘડી કાઢતા હોઈ છીએ. સર્વાઈવલ માટે આખી જીંદગી લડતા રહેવાનું સાથે સાથે અંતિમ ઉપાય તરીકે આપણા જિન્સને જીવતા રાખવા નવી પેઢીમાં આરોપી દેવા મતલબ સંતાન પેદા કરી તેને મોટા કરી નાખવા તે સર્વાઈવલનો અંતિમ ઉપાય. એટલે તો માંબાપ બનીએ તેના કરતા પણ દાદા-દાદી બનીએ ત્યારે વધુ ખુશી થતી હોય છે. કારણ આતો એક વધારાની પેઢીમાં જિન્સ આરોપાઈને સર્વાઈવ થઈ ગયા છે તેની ગેરંટી મળી ગઈ. એટલે માંબાપ તરીકે તો સંતાન પ્રત્યે કઠોર બની શકાતું હોય છે પણ દાદા-દાદી તરીકે કઠોર બનવું અશક્ય છે. મારી વાત ખોટી હોય તો કહો. imagesCAG489IA=-

હવે પુરુષને એના જિન્સ જીવતા રાખવા પાર્ટનર તરીકે સ્ત્રી જોઈએ અને સ્ત્રીને પુરુષ. પણ સ્ત્રી પાસે લિમિટેડ એગ્સ હોવાથી ક્વૉલિટી તરફ વધુ ધ્યાન આપશે પણ પુરુષ ક્વૉલિટી કરતા ક્વૉન્ટિટી તરફ વધુ ધ્યાન આપશે. એટલે મોટું બ્રેન ધરાવતા હોશિયાર પ્રાણી હોવાથી અસંદિગ્ધ યુક્તિઓ શોધી કાઢતા હોઈએ છીએ એમાં જ ઍશોઆરામ અને નારાયણ કુસાઈ જેવા કુ-મહાત્મા ઉત્પન્ન થતા હોય છે જેને આપણે ઓળખી શકતા નથી. હાઈ સ્ટેટ્સ વગર સ્ત્રી માટે જિન્સ ઉછેરવા અઘરા હોવાથી અને પુરુષ માટે હાઈ સ્ટેટ્સ વગર સ્ત્રી મળવી મુશ્કેલ હોવાથી સૌ પ્રથમ હાઈ સ્ટેટ્સ અર્જિત કરવું સૌથી વધુ મહત્વનું હોય છે. એકવાર હાઈ સ્ટેટ્સ મળ્યા પછી ભલભલાં મહાપુરુષો, નેતાઓ, ધાર્મિક ગુરુઓ સ્ત્રીઓમાં કેમ ફસાઈ જતા હોય છે? ધર્મ પણ રાજકારણની જેમ હાઈ સ્ટેટ્સ મેળવાનું એક સાધનમાત્ર બની જતું હોય છે. કારણ એક તો પહેલેથી ગરીબ હોય, બીજી કોઈ ક્વૉલિટી હોય નહિ પૈસા કમાઈને હાઈ સ્ટેટ્સ મેળવવાની, કે એવી કોઈ આવડત હોય નહિ ત્યારે રામચરિતમાનસ કે મંજીરા-કરતાલ બહુ મદદરૂપ થઈ જતા હોય છે. જો કે તે પણ એક આવડત જ કહેવાય.

બાપનું જોઇને છોકરા શીખે તેમ બિલકુલ સરખી જ સ્ટ્રેટેજી ઍશોઆરામની એનો દીકરો નારાયણ કુસાઈ અપનાવે છે. બાપની જેમ જ કથા કરવી, સ્ટેજ ઉપર નાચવું. વધારામાં છોકરીઓના લગ્ન કરાવતી વખતે હાજરી આપી વરરાજાને બદલે પોતે સેંથામાં સિંદૂર પૂરે છે અને મંગળસૂત્ર પણ વરરાજાને બદલે પોતે પહેરાવે છે. છે ને હસવું આવે તેવું? વધુ તો મને આવું બધું કરવા દેનારાઓની માનસિક અંધતા ઉપર દયા અને હસવું આવે છે. પણ આ અંધોને વગર મહેનતે મોક્ષ જોઇતો હોય છે, વગર મહેનતે સર્વાઈવ થવું હોય છે, સર્વાઈવ માટે જે પડકારો આવે તેમાંથી રાહત જોઇતી હોય છે. જેની આ લફન્ગાઓ ગેરંટી આપતા હોય છે. પછી એકવાર એમના ચક્કરમાં ફસાયા પછી ડરાવતા હોય છે અને ડરના માર્યા કમજોર કાયર લોકો જે કહે તે કરવા તૈયાર થઈ જતા હોય છે. મારું ચાલે તો ઍશોઆરામ, નારાયણ કુસાઈ સાથે એમની સામે આજે ફરિયાદ કરનારા બધાને સાથે જ જેલમાં પૂરી દઉં. મોંઘીબાનો સસ્તો દીકરો ભારતને બહુ મોંઘો પડ્યો.

એક ઍશોઆરામ સમાજમાં ઊભો થાય છે તેના માટે આપણે પોતે પણ એટલા જ જવાબદાર છીએ, આપણો લોભ, લાલસા અને ડર પણ એટલો જ જવાબદાર છે. ઍશોઆરામ કોઈ સંત-બંત છે નહી, એ હાઈ ટેસ્ટાસ્ટેરોન ધરવાતો ઍલ્ફા ચિમ્પૅન્ઝી સમજો, જે એના સમૂહ ઉપર ધાક જમાવવા આખો દિવસ બધાને ઝૂડતો હોય, બૂમો પાડતો હોય, ગૃપની માદાઓ ઉપર જોરતલબી કરતો હોય. ઍશોઆરામ એના હિંસક વલણ માટે જાણીતો છે. હાઈ ટેસ્ટાસ્ટેરોન આક્રમક સ્વભાવ આપતો હોય છે. એને હાઈ રાખવા બાવો જાતજાતના નુસખા પણ અજમાવતો હશે, વાજીકરણ હર્બલ દવાઓ ખાતો હશે. આને મિલ્ખાસિંઘ સાથે દોડાવ્યો હોત તો નક્કી ગોલ્ડ મેડલ લઈ આવતો.

મેં વડોદરામાં એક પુરુષ પણ પોતાને માડી મતલબ માતાજી તરીકે ઓળખાવતા ભાઈને જોયા છે. તેઓના ભક્ત જો એમના દરબારમાં નિયમિત હાજરી પુરાવે નહિ તો ધમકી આપતા કે માડીના દરબારમાં હાજરી પુરાવતા નથી પછી કહેતા નહિ કે માડીએ તકલીફ આવી ત્યારે સામું જોયું નહિ? તેઓ થોડી પ્રેક્ટીશ હોવાથી ગરમ તેલમાં પુરીઓ તળવા નાખતા અને હાથથી જ ઉપાડી લેતા, ચીપિયો વાપરતા નહિ ત્યારે બધાને ચમત્કાર લાગતો અને મને મારા ખેડૂત શંકર ડાભલ અને કચરો યાદ આવી જતો કે તેઓ સળગતા અંગારા ઉપાડીને ચલમ ઉપર મૂકી ફૂંકવા માંડતા. હું કહેતો પણ ખરો કે અલ્યા ડોહા આ સળગતો અંગારો ઉપાડો તો દાઝતા નથી? ત્યારે તેઓ હસતા કે બાપુ આ હાથ તો જુઓ પાવડા પકડી પકડી સખત થઈ ગયા છે અંગારો શું દઝાડે?

ચાલો માની લઈએ કે તમે ભગવાનમાં માનો છો તે બરોબર છે. તો ભગવાન એકલા મારો કે તમારો હોય ખરો? પહેલું તો ભગવાન કોઈ વ્યક્તિ હોય ખરો? અને હોય તો બીજા પ્રાણીઓનું શું? એમનો ભગવાન કેવો હશે? ચાલો છે અને હું એને ભજું તો મને હાર્ટઅટૅક આવે અને બચાવે તો પેલાં લાખો લોકો એને માનતા હોય છે, રોજ પ્રાર્થના કરતા જ હોય છે અને હાર્ટઅટૅકમાં કે બીજા કોઈપણ કારણસર મરી જતા હોય છે તેમની કેમ ફેવર કરી નહિ? જેને આપણે પ્રગટ બ્રહ્મ કહીએ છીએ તેઓ પણ હાર્ટઍટૅકમાં સપડાય ત્યારે શું માનવું? કર્મના નિયમના ઇક્સક્યુઝ મારે નથી જોઇતા. એ તમામ બાબતોમાં બહુ સરસ ઇક્સક્યુઝ બને છે. આ એક ઇક્સક્યુઝ બતાવીને જ બાવાઓ તેમની જવાબદારીમાંથી છટકી જતા હોય છે. ભગવાન મારી ફેવર કરે અને તમારી નાં કરે તો પછી ભગવાન ભેદભાવ કરે છે તે સાબિત થઈ જાય. ભગવાન મારા તમારા વચ્ચે ભેદ કરે ખરો? અને કરે તો ભગવાન શાને કહેવાય? પહેલું તો મારો અને એક મુસલમાનનો અને એક ક્રિશ્ચનનો ભગવાન જુદો જુદો કેમ હોય? બધા અવતાર મારે ત્યાં જ થાય અને ચીનમાં કેમ નાં થાય?

ભગવાન એક હોય કે હજારો લાખો હોય? દસ દસ અવતારો જ્યાં થયા હોય તેવી પુણ્યભુમી ફક્ત એક જ ભગવાનમાં માનનારી પ્રજાઓના હાથ નીચે આશરે હજાર વર્ષ ગુલામ કેમ રહી? શું આખા ભારતે એટલા બધા પાપ ગત જન્મોમાં કર્યા હશે? એક પેઢી ૬૦ વર્ષની ઍવરિજ ગણીએ અને ઇગ્ઝૅક્ટ ૬૦ વર્ષે મરવા સમયે છોકરા પેદા થાય ત્યારે ૧૫ પેઢી થાય. તો ૧૫ પેઢી ગુલામ રહી કે નહિ? પંદર પેઢીઓ સુધી કયાં પાપના પ્રતાપે ગુલામી વેઠીને અચાનક આઝાદ થઈ ગયા?

ચાલો હવે કર્મના નિયમ તરફ આવીએ. કર્મનો નિયમ સચોટ હોય અને કર્મના ફળ ભોગવવાના જ હોય તો પછી ભગવાનની હોય તો પણ શું જરૂર છે? ભગવાન હોય તો પણ કર્મના ફળમાંથી બચાવવાનો છે જ નહિ તો હોય કે નાં હોય શું ફરક પડે છે? હોય તો એને એનું કામ કરવા દો. શૂળીનો ઘા સોયથી સરે તેવું કહેનારા કર્મના નિયમને ખોટો પાડે છે. શૂળીનો ઘા સોયથી સરે તો કર્મનો નિયમ જ ખોટો ઠરે. કર્મના નિયમને માનો અથવા ભગવાનને માનો.

આપણો પ્રૉબ્લેમ એ છે કે આપણે ભગવાન અને કર્મના નિયમ બંનેને સાથે માનીએ છીએ. એક બાજુ કહીએ છીએ કે ભગવાન બચાવે અને એકબાજુ કહીએ છીએ કરેલા કર્મ ભોગવવા પડે. મોસ્ટ કન્ફ્યૂઝ્ડ પ્રજા છીએ આપણે. બંને સાથે પણ માની શકાય પણ એમાં ભગવાનને એનું કામ કરવા દો, ના એ કોઈની ફેવર કરે નાં એ કોઈનું બગાડે, તમારી જવાબદારી તમે ભોગવો, નાં એ કોઈનો જુદો હોય. નાં એ દયાળુ હોય નાં એ ક્રૂર હોય. હોય તો બધે જ હોય, કણ કણમાં હોય અથવા કશે નાં હોય. હવે બધે કણ કણમાં હોય તો પણ કામનો નથી અને બધે નાં હોય તો કોઈ સવાલ જ નથી. પણ આપણે બધા લાડવા એક સાથે ખાવા છે. બસ અહીં જ ધૂતારાઓની લીલા શરુ થાય છે. આપણા ડર આપણા લોભ, લાલચ અને કન્ફ્યૂઝન નો મહત્તમ ઉપયોગ કરવાનું જેને આવડી જાય તે મોટો મહાત્મા મોટો ગુરુ બની જાય છે.

જેવો ગુરુ ધન, પદ, સત્તા મેળવી હાઈ સ્ટેટ્સ પ્રાપ્ત કરી લે છે કે તરત ઇવલૂશનરી ફોર્સને તાબે થઈ મહત્તમ જિન્સ ફેલાવવા અચેતનરૂપે સ્ત્રીઓ પાછળ લાગી જતો હોય છે. સ્ત્રીઓ પાછળ લાગી જવાની લાંબી યોજના રૂપે હાઈ સ્ટેટ્સ યેનકેન પ્રકારે પ્રાપ્ત કરાતું હોય છે તેમ કહેવું વધુ યોગ્ય છે. નેતાઓ પણ અન્કૉન્શયસલી આજ કરતા હોય છે.

 કર્મના નિયમમાંથી ભગવાન પણ બચાવી શકવાનો નાં હોય તો ગુરુ ક્યાંથી બચાવશે? તો પછી ગુરુને તાબે થવાની ક્યાં જરૂર છે? ગુરુ પોતે જ હવે જેલમાં ગયા છે તેમને કોણ બચાવશે? તમે કોઈ વ્યક્તિને ભગવાન માની લો અને જ્યારે તે આપણા માટે કશું કરી નાં શકે ત્યારે બહુ મોટો આઘાત લાગતો હોય છે. તે વ્યક્તિ પોતે જ મજબૂર હોય છે. એના પોતાના પ્રૉબ્લેમ્સ અનેક હોય છે, તે પોતે વળી બીજા ભગવાનને કગરતો હોય છે કે મને બચાવ. એને પણ ચૂંટણી લડવાની હોય છે. એને પણ દિલ્હી જવું હોય છે, એમાય પાછાં એના ગુરુ નડતા હોય છે. કારણ ગુરુને પણ દિલ્હીની ગાદી કબજે કરવાનો મોહ હોય છે.

ફક્ત સર્વાઇવલની અને શબ્દો વગરની કેમિકલ્સની ભાષા જાણતું નાનું મગજ કાયમ હાવી થઈ જતું હોય છે. મોટું મગજ જે વિચારશીલ છે તે બધું જાણતું હોય છે પણ છેવટે કરોડો વર્ષથી તમારા અસ્તિત્વ માટે કારણભૂત છે, જે ગમે તેવી વિષમ સ્થિતિઓ હોય તમને કરોડો વર્ષોથી બચાવતું આવ્યું છે તે મૅમલ બ્રેન હાવી થઈ જતું હોય છે. એટલે દુર્યોધન કહેતો હતો કે ધર્મ શું તે હું જાણું જ છું પણ તેમાં પ્રવૃત્ત થઈ શકતો નથી, અને અધર્મ શું તે હું જાણું છું પણ એમાંથી નિવૃત્ત થઈ શકતો નથી. जानामि धर्मम न च मे प्रवृत्ति:, जानामि अधर्मम न च मे निवृत्ति: ખરેખર તો મૅમલ બ્રેન કોઈ અધર્મ આચરતું નથી તેનો તો એક જ ધર્મ છે યેનકેન પ્રકારે તમને બચાવવાનો તે પણ સદીઓ સુધી..

દોઢડાહ્યાઓએ કહેલો ધર્મ જો મૅમલ બ્રેને માન્યો હોત તો આજે આપણું અસ્તિત્વ જ ના હોત..

                                                                                                                           ભૂપેન્દ્રસિંહ રાઓલ

                                                                                                                            ૧૦ સપ્ટેમ્બર, ૨૦૧૩

                                                                                                                             એડિસન, ન્યુ જર્સી.

મિત્રતાનો ફેસબુક ફંડા (વિદ્વાન મિત્રોના અભિપ્રાય અને અનુભવો સાથે)

 images (7)

મિત્રતા-ફેસબુક ફંડા

જંગલમાં એકલો રહેતો હોય કે જેલમાં કાળકોટડીમાં એકલો પૂરેલો હોય, માનવી પશુ-પ્રાણી કે કોઈ પણ જીવજંતુ ને મિત્ર બનાવી લેતો હોય છે. મિત્રતાનો આધાર ત્રણ બાબતો ઉપર હોય છે. કે ત્રણ પ્રકારની મિત્રતા હોય છે. એક મિત્રતા ઉપયોગિતા પર આધાર રાખતી હોય છે. બીજી મિત્રતા આનંદપ્રમોદ ઉપર આધાર રાખતી હોય છે અને ત્રીજી મિત્રતા નૈતિકતા કે ચારિત્ર્ય અને ગુણો કે આચારવિચાર ઉપર આધાર રાખતી હોય છે.

સ્કૂલમાં વિદ્યાર્થીઓ એકબીજાને નોટ્સ, પુસ્તકો અને સાધનો વગેરેની આપલે કરતા હોય છે. પડોશીઓ એકબીજાની વસ્તુઓ શેઅર કરતા હોય છે. અમારા પાડોશી શાંતાબેન બે મરચાં, એકાદ લીંબુ કે એકાદ ડુંગળી લેવા કાયમ આવી જતા. આવી મિત્રતાનો આધાર ઉપયોગિતા ઉપર ટકતો હોય છે. ઉપયોગિતા ખતમ મૈત્રી ખતમ.

ઘણા મિત્રો ખૂબ હસમુખા હોય છે. એમની કંપનીમાં આનંદ આવી જાય. જોડે ફિલમ જોવા જઈએ. કોઈ પ્રોગ્રામ માણવા જઈએ. ઘણા ખર્ચાળ પણ હોય મિત્રો માટે પૈસા ખર્ચતા વાર નાં કરે. આમ એક મૈત્રીનો આધાર આનંદ-પ્રમોદ, મોજશોખ હોય છે. આનંદ ખતમ મૈત્રી ખતમ.

સદાચાર, સદભાવ, સમાન વિચારસરણી, ગુણ આધારિત નૈતિક મિત્રતા કાયમ ટકી જતી હોય છે. આવી મિત્રતામાં આનંદપ્રમોદ અને ઉપયોગિતા સમાયેલી હોય તે વાત જુદી છે. આવા મિત્રતામાં એકબીજાની સારપ વધુ જોવાતી હોય છે. એમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ હોય છે.

એક ઇન્ટરનેશનલ અભ્યાસ (McAndrew & Jeong, 2012) મુજબ ફેસબુકમાં સૌથી વધુ એક્ટીવ યુવાનો, સ્ત્રીઓ અને સિંગલ હોય છે. તેઓ ઇમ્પ્રેશન વધારવા માટે ફોટા, સ્ટેટ્સ અને પોસ્ટ અપડેટ કરવા બીજા લોકો કરતા વધુ સમય ફેસબુક પર ગાળતા હોય છે. ઓલ્ડર યુઝર્સ ફેમિલી રીલેટેડ ફેસબુક એક્ટીવીટીમાં વધુ વ્યસ્ત હોય છે. ટૂંકમાં યુવાન સ્ત્રીઓ ઇચ્છતી હોય કે લોકો તેમને વધુ જુવે અને ઓલ્ડર યુઝર્સ ફેમિલી સાથે સંપર્કમાં રહેવા ઇચ્છતા હોય છે.

રોજીંદી જીવન ઘટમાળમાં આપણે નાના મોટા અસ્વીકાર અવહેલના ભોગવતા જ હોઈએ છીએ. સાથે કામ કરતા સાથીઓ આપણને મૂકીને લંચ લેવા જતા રહેતા હોય, સગાસંબંધી આપણો જન્મદિવસ ભૂલી જતા હોય, પડોશીઓ એમના ત્યાં રાખેલી પાર્ટીમાં આમંત્રણ આપતા નથી, મિત્રો આપણને મૂકીને ફિલ્મ જોવા જતા રહેતા હોય, પતિ કે પત્ની એકબીજાની કામેચ્છા પૂરી કરવાની વિનંતીનો કઠોર અસ્વીકાર કરતા હોય, કોઈને કોઈ દ્વારા આપણી લાગણીઓ ઘવાયા વગર ભાગ્યેજ કોઈ દિવસ કે અઠવાડિયું પસાર થાય. પણ હવે Facebook, Twitter, Linkedin, Instagram જેવી અનેક સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ આપણને લાગણીઓમાં તરબતર કરવા આવી પહોચ્યાં છે, પણ જેટલી સ્વીકારની સંભાવનાઓ વધે તેમ અસ્વીકારની સંભાવનાઓ પણ ખૂબ વધી જતી હોય છે. એટલે કોઈ મિત્ર લાઈક આપવાનું ભૂલી જાય કે રિટ્વીટ કરવાનું ભૂલી જાય ત્યારે પેલાં રિઅલ લાઇફ રિજેક્શન જેવું અહીં પણ અનુભવાય છે. આપણા ટહુકા નો કોઈ પ્રતિસાદ આપવામાંથી છટકી જાય ત્યારે ખૂબ લાગી આવતું હોય છે. લાઈક કોમેન્ટ્સનાં વાટકીવ્યવહાર ના સચવાય તે એક જાતનો સામાજિક બહિષ્કાર જેવું લાગતું હોય છે.

સમજો જ્યારે આપણે કાયમ પાડોશીને નાની મોટી પાર્ટીમાં યાદ રાખીને બોલાવતા હોઈએ પણ તેના ઘેર પ્રસંગ આવે ત્યારે આપણને ભૂલી જાય ત્યારે જે દુઃખ થાય કે લાગણી ઘવાય છે તેવી જ સરખી અનુભૂતિ અહીં ફેસબુકમાં તમને કોઈ મિત્ર દ્વારા લાઈક કે પ્રતિભાવ નાં મળે ત્યારે થતી હોય છે. શારીરિક પેએન વખતે બ્રેનમાં જે વિભાગો વધુ હલચલ બતાવે છે તે જ વિભાગો સામાજિક અસ્વીકાર વખતે પણ વધુ હલચલ બતાવતા હોય છે. એટલે તમને પગમાં ઠેસ વાગે અને અંગૂઠામાં દુખાવો થાય ત્યારે, અને કોઈ સગા એમના ઘેર સારા પ્રસંગે આપણને યાદ નાં કરે અને આપણી લાગણી ઘવાય ત્યારે, અને આપણો મિત્ર આપણી પોસ્ટને લાઈક નાં આપે કે પ્રતિભાવ નાં આપે ત્યારે બ્રેનમાં સેઇમ વિભાગ એક્ટીવ થતા હોય છે. જો આટલું સમજાઈ જાય તો હવે કોઈ લાઈક નાં આપે તો દુઃખ ઓછું થશે.

ઘણીવાર આપણે વધુ પડતું વિચારી લેતા હોઈએ છીએ. માનો કે આપણે કોઈને Linkedin માં જોડાવા આપણી સાથે આમંત્રણ આપીએ પણ તે સ્વીકારે નહિ તો ખોટું લાગતું હોય છે પણ એવું બને કે પેલો ભાઈ Linkedin કદી ખોલતો જ નાં હોય કે વાપરતો જ નાં હોય. હું પોતે ટ્વીટર પર જતો નથી. મારા લેખોની લિંક ઓટ્મેટિક ટ્વીટર પર આવી જતી હોય છે. હું ગુગલ પ્લસ પણ ખાસ વાપરતો નથી. એટલે મને તે સાઈટ્સ પર કોઈ શું કરે મને ખાસ ખબર હોતી નથી. ફેસબુક ઉપર પણ હું આખો દિવસ હોઉં નહિ. બીજું અમારો ટાઈમ ડિફરન્સ પણ ધ્યાનમાં રાખવો પડે. અમારો સુવાનો ટાઈમ થાય ત્યારે તમે કોઈ પોસ્ટ મૂકી હોય જેની અમને જાણ થાય નહિ. હજારો પોસ્ટ અને સ્ટેટ્સ મૂકાતાં હોય ત્યાં કોઈ મિત્રનું ક્યાંય પહોચી ગયું હોય દેખાય પણ નહિ. એટલે જો આપણને સોશિઅલ મીડિયા પર ૧૦૦૦ વખત અસ્વીકાર(રિજેક્શન) અનુભવાય ત્યારે ૯૯૯ વખત કોઈનો અંગત ઇરાદો એવું કરવાનો હોતો નથી. ઘણી બધી જાતજાતની પોસ્ટ મૂકાતી હોય, ફોટા હજારો જાતના મુકાતા હોય છે. મને પોતાને ફોટા મૂકવામાં રસ નથી પડતો. અને એવા મૂકેલા ફોટા પ્રત્યે મારું ખાસ ધ્યાન પણ નાં હોય. દરેકના રસ જુદાજુદા હોય. એટલે જેટલું સોશિઅલ મીડિયા પર સમૃદ્ધ થવાની તકો હોય તેટલી જ તકો રિજેકશનની પણ હોય છે.

ફેસબુક પર લાખો પેજ છે. હેલ્થને લગતા હજારો પેજ હશે. હજારો લાખો ગ્રુપ્સ ચાલતા હશે. જેને જે ભાવે તેમાં જોડાઈ જાય. પોતાના ધંધાની જાહેરાતના પેજ હોય છે તેમ નિઃસ્વાર્થ સેવાભાવી સંસ્થાઓના પણ પેજ છે. આતો જાહેર અન્નકૂટ છે જેને જે ભાવે તે ખાઈ લે.

ફેસબુક વાપરતા બાળકોનાં માતાપિતા ચિંતા કરતા હશે કે એનાથી બાળકોની બુદ્ધિમત્તા પર અસર પડશે. પણ એક અભ્યાસ એનાથી ઊલટું કહે છે. જો કે વધુ પડતો ઉપયોગ સમય બગાડે તે હકીકત છે. પણ અભ્યાસ જતાવે છે કે જે ૧૫-૧૮ વર્ષના બાળકો એક વર્ષ કરતા વધુ સમયથી ફેસબુક વાપરતા હોય તેઓની વર્કિંગ મૅમરી, વર્બલ આઈ કયું, અને સ્પેલિંગ જ્ઞાન એક વર્ષ કરતા ઓછા સમયથી ફેસબુક પર એક્ટીવ હોય તે બાળકો કરતા વધુ હોય છે. કારણ આખી દુનિયામાંથી માહિતીનો ધોધ અહીં વહેતો હોય છે. એની સાથે અનાયાસે રમતા રમતા અનાયાસે ચિંતનમનન થઈ જતું હોય છે.

એક અભ્યાસ જણાવે છે કે ૫૦ વર્ષ વટાવ્યા પછી એકલતા માનવીમાં બ્લડ પ્રેશર વધારવાનું કામ કરતી હોય છે. એટલે એકલતાના નિવારણ માટે મિત્રો હોય તે જરૂરી છે. પણ એવું જરૂરી નથી કે એકલતા દૂર કરવા અસંખ્ય મિત્રો જોઈએ. કે જેમ મિત્રો વધુ તેમ એકલતા વધુ દૂર રહે. એકલતા તમે કેટલા એકલા છો તેના પર આધાર નથી રાખતી પણ તમે કેટલું એકલવાયું અનુભવો છો તેના પર આધાર રાખે છે. ઘણીવાર સગાંસંબંધીઓનાં ટોળા વચ્ચે પણ માણસ એકલતા અનુભવતો હોય છે. ક્યારેક બહુ મોટી પાર્ટીમાં પણ ઘણીવાર એકલતા અનુભવાતી હોય છે. અને ક્યારેક મારા જેવાને સારા પુસ્તકો વાંચવા મળી જાય તો એકલો હોઉં તો પણ એકલતા લાગે નહિ..આમ મિત્રતામાં ગુણવત્તા વધુ મહત્વની છે સંખ્યા નહિ. બહુ ઓછા મિત્રો સાથે પણ એકલતા નિવારી શકાતી હોય છે. અરે! જેની હાજરીમાં એકલતા ગાયબ થઈ જાય તે સારો મિત્ર, બોર નાં કરે તે સારો મિત્ર, જેની હાજરીમાં કમ્ફર્ટેબલ ફીલ કરી શકાય, જેને મળીને જ ખુશ થઈ જવાય, તે સારો મિત્ર..

ફેસબુક પર ગમે તેટલા ફ્રેન્ડસ હોય ખરેખર આપણે બહુ ઓછા મિત્રો સાથે interact ક્રિયાપ્રતિક્રિયા કરી શકતા હોઈએ છીએ. ૫૦૦ મિત્રો ફેસબુક પર હોય તો ભાગ્યેજ ૧૫-૧૭ મિત્રો સાથે અરસપરસ interact કરી શકતા હોઈએ છીએ એવું એક અભ્યાસ બતાવે છે. આ વર્ચ્યૂઅલ ફેન્ડશીપ ક્યારેક રિઅલ મિત્રતામાં પણ બદલાઈ જતી હોય છે. પરદેશમાં રહેતા ફેસબુક મિત્રો દેશમાં આવીને વર્ચ્યૂઅલ મિત્રોની મુલાકાત લઈને એમને રિઅલ મિત્રો પણ બનાવી લેતા હોય છે.

ફેસબુક કે બીજી કોઈપણ સોશિઅલ વેબસાઈટ ઘણા માટે જાત સાથેની ઓળખ પણ બની શકતું હોય છે. હું શરૂમાં ફેસબુક પર ખાસ આવતો નહિ. મને ખુદને ખબર નહોતી કે આ ઇન્ટરનેટ મને લખતા કરી દેશે. મેં સપને પણ વિચાર્યું નહોતું કે હું લખતો થઈ જઈશ. શરૂમાં મેં ઓનલાઇન વાંચવા મળતા દિવ્યભાસ્કરમાં કોઈ લેખ નીચે ટિપ્પણી લખવાનું શરુ કરેલું. એમાંથી પોતાનો બ્લોગ બનાવી લખવાનું શરુ કરેલું. તે સમયે મારા વિચારો અસ્તવ્યસ્ત રીતે લખીને બ્લોગમાં મૂકતો થયેલો. પણ બીજા બ્લોગર મિત્રોએ એને સરાહવાનું શરુ કર્યું એમાં મને વધુને વધુ લખવાની ચાનક ચઢવા લાગી. ધીમે ધીમે ઘડાતો ગયો અને લખાણ પણ સુધરતું ગયું. ફેસબુક પર ભાગ્યેજ આવતો. ફેસબુક પર સૌ પ્રથમ મારી જાહેર ઓળખ આપનાર મિત્ર દર્શિત ગોસ્વામી બન્યા. એમણે મારો એક લેખ મારા નામ સાથે ફેસબુક પર પ્રસિદ્ધ કર્યો એને મિશ્ર પ્રતિભાવો મળેલા. થેન્ક્સ દર્શિત.

ફેસબુક દ્વારા મને ખૂબ સારા મિત્રો મળ્યા છે. તમારી અંદર છુપાયેલી પ્રતિભા બહાર કાઢવાનું ફેસબુક સારું માધ્યમ બની શકે છે. ઈમેલ અને બ્લોગ દ્વારા બહુ ઓછા મિત્રો સાથે સંપર્કમાં રહી શકાય છે પણ ફેસબુક દ્વારા એકસાથે અનેક મિત્રો અને સગાસંબંધી સાથે સંપર્કમાં રહી શકાય છે. જૂની ઓળખાણો તાજી થતી હોય છે. કોઈપણ વસ્તુની સારીનરસી બાજુઓ હોય છે તેમ ફેસબુકને પણ હોય છે. કૉલેજ સ્ટુડન્ટ વચ્ચે કરાયેલો એક અભ્યાસ જતાવે છે કે જે લોકો ફેસબુક ઉપર પોસ્ટ અને સ્ટેટ્સ વધુમાં વધુ અપડેટ કરતા રહેતા હોય છે તેઓ સામાન્ય સંખ્યામાં સ્ટેટ્સ અને પોસ્ટ અપડેટ કરતા લોકોની સરખામણીએ ઓછી એકલતા અનુભવતા હોય છે.

સારી તંદુરસ્તી માટે આપણને ખબર છે કે પૌષ્ટિક ખોરાક લો, નિયમિત કસરત કરો, અને પૂરતો આરામ કરો, પણ કેટલા જાણે છે કે એની સાથે સામાજિક જોડાણ પણ મહત્વ ધરાવે છે? સામાજિક જોડાણ શારીરિક અને માનસિક હેલ્થ ઈમ્પ્રુવ કરે છે તે પણ જાણવા જેવું છે. વધુ પડતું વજન હેલ્થ માટે નુકસાનકારક છે જ પણ તેના કરતા વધુ નુકશાન જો તમે સામાજિક સંબંધો નાં ધરાવતા હોવ ત્યારે થતું હોય છે તેવું પણ એક અભ્યાસ જણાવે છે. ખૂબ મજબૂત સોશિઅલ કનેક્શન ધરાવતા લોકોનું આયુષ્ય વધવાના ચાન્સ ૫૦ ટકા વધી જતા હોય છે. સોશિઅલ કનેક્શન આપણી ઈમ્યુન સિસ્ટિમ મજબૂત કરે છે. Steve Cole નામના વૈજ્ઞાનિકે રિસર્ચ કરેલું છે કે સોશિઅલ કનેક્શન આપણી ઈમ્યુન સિસ્ટિમ ઈમ્પ્રુવ કરે છે જેના લીધે બીમારીમાંથી જલદી બહાર આવી જવાય છે અને તેના લીધે આયુષ્ય પણ વધે છે. જે સામાજિક રીતે બીજા લોકો સાથે વધુ કનેક્ટેડ હોય છે તેઓને anxiety અને depression ઓછું થતું હોય છે. સામાજિક મજબૂત જોડાણ સેલ્ફ એસ્ટીમ વધારે છે, બીજા પ્રત્યે સહાનુભૂતિમાં વધારો કરે છે સાથે સાથે સહકારની ભાવના વિકસે છે, તેનો લાભ બીજાને મળે તો સામેથી આપણને પણ મળતો જ હોય છે. “પરસ્પર દેવો ભવઃ”

ઓછું સામાજિક જોડાણ ધરાવતા લોકોની શારીરિક અને માનસિક હેલ્થ ઓછી થતી જાય છે જેના લીધે એન્ટીસોશિઅલ પ્રવૃત્તિ વધવાનું જોખમ પણ વધી જતું હોય છે તેમ તેમ એકલા પડવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે. એન્ગઝાયટિ, ડિપ્રેશન અને અસામાજિક વૃત્તિઓ સામે અસહાયતા ક્યારેક આત્મહત્યા તરફ દોરી જાય છે.  We are biologically, cognitively, physically, and spiritually wired to love, to be loved, and to belong. આવું ના બને તો ભાંગી પડાતું હોય છે, સંવેદનહીન બની જવાતું હોય છે જે એકંદરે નુકશાન કરતું હોય છે. આપણે વિચારીએ છીએ કે આપણે ધનિક થવા માંગીએ છીએ, સત્તા અને પ્રસિદ્ધિ મેળવવા માંગીએ છીએ, સૌન્દર્ય અને અમર યુવાની ઇચ્છીએ છીએ, નવી કાર જોઈએ છે, પણ આ બધી ઇચ્છાઓના મૂળમાં સામાજિક સ્વીકાર ઇચ્છતા હોઈએ છીએ, કોઈને પોતાના બનાવવા અને કોઈના બનવા માંગતા હોઈએ છીએ. હવા, ખોરાક અને પાણી સાથે સોશિઅલ કનેક્શન આપણી મૂળભૂત ચોથી જરૂરિયાત છે.

મૂવી જોતા વખતે આપણે ભૂલી જતા હોઈએ છીએ કે આ પડદા પર નૃત્ય કરતા દ્ગશ્યોના ટુકડા એકધારા લયમાં ઝડપથી પસાર થતા પારદર્શક ચિત્રો જ છે. આપણે એમાં માનસિક રીતે ઇન્વોલ્વ થઈ જતા હોઈએ છીએ. બસ તેવું જ ફેસબુક જેવા વર્ચ્યૂઅલ જગતનું પણ છે. અને ખરેખર આ વર્ચ્યૂઅલ જગત વર્ચ્યૂઅલ પૂરેપૂરું હોતું પણ નથી. ભલે આપણે ફેસબુક મિત્રોને મળ્યા નાં હોઈએ પણ હકીકતમાં તેઓ બીજા દેશમાં કે શહેરમાં બેઠેલા હોય છે તો ખરા જ. ફેક આઈડી પાછળ પણ કોઈ જીવંત વ્યક્તિ છુપાયેલો તો હોય જ છે. એવા મિત્રોને ખરેખર મળવાના ચાન્સ ૧૦૦ ટકા હોય જ છે. એટલે ભલે ના મળ્યા હોઈએ એમના સુખે સુખી અને એમના દુઃખે દુઃખી પણ થવાતું જ હોય છે, એના માટે કોઈ રિસર્ચની જરૂર નથી. જેને હું કાયમ ઝાઝું લક કહીને સંબોધન કરતો હતો તે ઝલક પાઠકની કાયમી વિદાયનાં સમાચાર સાંભળી વહેલા આંસુ વર્ચ્યૂઅલ નહોતા તે એની સાબિતી છે.

આ ફેસબુક મિત્રતા કહો કે વર્ચ્યૂઅલ મિત્રતા કહો તેના વિષે જુદા જુદા મિત્રોના વિચારો પણ જાણવા જેવા છે.

પોતાનું આગવું વિચાર વલોણું રજૂ કરતા શ્રી અશોકસિંહ વાળા કહે છે, “સોશિયલ સાઇટના ફાયદા અચૂક છે પરંતુ સાઇડ ઇફેક્ટનો સૌ કોઈ ને અનુભવ હશે જ… તમારા એકના એક દિલ પર હાથ રાખીને કહો? પણ પણ પણ આ આભાસી સંબંધો વાસ્તવિક સંબંધોનું આધુનિકરણ છે જે સાચે જ વ્હાલુ લાગે એવું છે… ખરેખર આ ૧૧ પાસ અશ્કાએ આકાંક્ષાથી ઉપરના મિત્રો અને માન-સંમાન ફેસબુક પર મેળવ્યું છે.”

હું એમને કાયમ કહેતો હોઉં છું કે પન્નાલાલ પટેલ પણ બહુ ભણેલા કે સ્નાતક નહોતા પણ એમણે જે સર્જન આપ્યું છે તે કદી ભૂલાય તેવું નથી. ભણતરનો ફેર ચોક્કસ પડતો હોય તમારા સર્જન ઉપર પણ ફરજિયાત ફેર પડે તે જરૂરી નથી. વધુમાં આગળ ઉમેરતા તેઓ કહે છે,

“મિત્રતામાં વિચારોની સમાનતા હોય ત્યાં મૈત્રી ટકવાનાં ચાન્સ ખૂબ વધી જતાં હોય છે મારી જ વાત કરું તો નાનપણમાં ગામડે મોટાભાગના મિત્રો સાથે મારે બનતું નહિ કારણ કે મને/મારા વિચારોને કોઈ સમજે નહિ એટલે કાયમ મિત્રો સાથે મતભેદ રહે અને દરરોજના મતભેદ આખરે મનભેદમાં પરિવર્તિત થાય જતાં હોય છે અને કોઈ એક લેખ, કવિતા કે રચનાને આપની કૉમેન્ટ દ્વારા સંપૂર્ણ ન્યાય આપવો પણ ખૂબ અઘરો અને કદાચ દિલના ખરા શબ્દોથી ઈમાનદારી પૂર્વક ન્યાય ન પણ આપી શકાય ખાસ કરીને ત્યારે જ્યારે મનમાં લાઇકનું ભૂત ધૂણતું હોય… હાહાહા… ક્યાંક હાસ્યના હુલ્લડમાં મન પ્રફુલીત કરવા હાસ્ય પ્રચુર કૉમેન્ટ કરવાની… ત્યાંથી મૂડ ચેઇન્જ કરી કોઈ એક ધાર્મિક પોસ્ટ પર કોઈની ધાર્મિક લાગણી ન દુભાય એનો ખયાલ રાખી કૉમેન્ટ કરી નીકળ્યાં હોય ત્યાં તર્ક સંગત પોસ્ટમાં કૉમેન્ટ કરવાનું આમંત્રણ નોટિફિકેશનમાં આવીને ઉંભુ હોય આ કોમેન્ટોની ભાગદૌડમાં આપણાં ખૂદના વિચારોનો વિરોધાભાસ છતો થયા વગર નથી રહેતો કોઈ પણ વસ્તુ વિષયનો વિરોધાભાસ તો હોવાનો જ એમાં પણ ખાસ કરીને સોશિઅલ સાઇટના તો નબળા અને સબળા પાસા ઊડીને આંખે વળગે એવા… ગામ હોય ત્યાં ઉકરડા પણ હોય એટલે ગામ છોડીને ભાગી થોડું જવાનું? ઉકરડાની સફાઈને પ્રાથમિકતા આપવી ઘટે… વિવેક બુદ્ધિથી ઉપયોગ કરીએ તો ફેસબૂક એક અદ્દભૂત સોશિઅલ સાઇટ છે અને એના સેંકડો ફાયદાઓને પણ નજર અંદાજ ન જ કરી શકાય.”

શ્રી અશોકસિંહ સંવેદનશીલ અછાંદસ કવિ પણ છે તેઓએ ફેસબુકને અનુલક્ષીને એક સુંદર કવિતા પણ લખી છે, ચાલો તે પણ માણી લઈએ.

“માયા ફેસબૂકની”

લાઇકની લ્હાયમાં હલવાણા આ ધુરંધરો

કોયડો કોમેન્ટનો થતો જાય એવો અઘરો,

નર હોય કે, હોય નારી તણી કોઈ દિવાલ

ચડી દિવાલ પર કરે કૉમેન્ટ રૂપી મુજરો,

ફેસબૂક સમંદરની સૌ નાની મોટી માછલી

શબ્દો સૌ કોઈના છે અહીં અજીબ તવંગરો,

અહં આડોડાઈ અકળાવે અંદરથી સૌને

નિખાલસ મનમાં કીડો છે આ કેવો જબરો,

મળે નાનાને ટૅગમાં પણ મોટો ધૂત્કાર અહીં

ને મોટા માંથા કણે જાય વણ નોતર્યો નવરો,

સમયની થપાટે સુધરશે સૌ કોઈ “અશોક”

અપ ટુ ડેટ લિબાસ, છે અંદરથી ઇ લઘરો

– અશોકસિંહ વાળા

વિચક્ષણ પોલીસ અધિકારી શ્રી રાજ બ્રહ્મભટ્ટનું કહેવું છે, “Virtual friendship ! It feels good to be here. Most of us are known according to our profile. We find imaginary characters close to us through their posts, comments, blogs, photos etc. Most of us are bonded with third type of friendship. Yet there are chances  for first & second type friendships too. One thing is for sure, its eternal.”

અમારા મસ્ત મૌલા બલવંતસિંહ જેઠવા સાહેબે ફક્ત ચાર પંક્તિમાં ફેસબુકનો આભાર ઉમદા રીતે સાવ સરળતાથી માની લીધો,

               “ફેસબુકના ના સેતુંથી હૈયા આપણાં ફૂલ્યાં,

             બંધ કંઈક જુના દરવાજા ખૂલ્યાં.

             સ્નેહ સમંદરના મોજે રોજ ઝૂલ્યાં,

             મળ્યાં જુના દોસ્તો હતાં જેને ભૂલ્યાં.”

સંવેદનશીલ હૃદય ધરાવતા સ્વાતિબેન સુથારનું કહેવું છે, “કઈ નક્કી નથી કરી શકાતું કે કેવી મિત્રતા હોય છે એફ.બી. પર? માણસોનું એકબીજા સાથે કોમ્યુનીકેશન જ જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.. જેથી માણસ પોતાની સુખ કે દુખની લાગણી બીજા સાથે શેર કરી શકે અને સ્વસ્થ રહી શકે તન અને મન થી…પરંતુ અહીં આવું પણ બને જેને તમે ખૂબ સહૃદયી  મિત્રો માન્યા હોય.. એ જ તમારા માટે કૈંક ભળતો જ ઓપિનિયન રાખતા હોય ! અને ત્યારે !..તમારી એમના તરફની લાગણી ઓ ને ગળે ટૂપો આપી દેવો પડે…હોતા હૈ ચલતા હૈ…..!  જ્યારે ના વિચારેલા અજાણ્યા મિત્રો તમને ખૂબ મદદરૂપ બનતા હોય છે ! આપણી જાત ને ઠમઠોરી ને કેળવવા માટે પણ આવા સંબંધો જરૂરી છે, એમ માનવું.

પોતાના આગવા રાજકીય દ્રષ્ટિકોણ માટે જાણીતા શ્રી અમરીશ પટેલનું કહેવું છે કે, “ફેસબુક આપણ ને અલગ અલગ વયના સ્ત્રી અને પુરુષો કૉલેજમાં ભણતા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ અને વરિષ્ઠ નાગરિકોના મનમાં શું ચાલી રહ્યું છે જાણવાનું અદ્ભુત પ્લેટફોર્મ પૂરું પાડે છે. સામાન્ય સંજોગોમાં ૧૭ કે ૨૦ વર્ષના તરુણ કે તરુણી કે ગૃહિણીઓ કે અન્ય સ્ત્રીઓ જે તમારા થી ૫૦૦ કે ૧૦૦૦ કે ૨૦૦૦ કિલોમીટર દૂર રહેતા અલગ અલગ જાતિ અલગ અલગ ધર્મના વ્યક્તિ સાથે મિત્રતા કરવી અસંભવિત છે, ફેસબુક એ પ્લેટફોર્મ પૂરું પડે છે ફક્ત Add Friend ની ક્લિક દ્વારા ……….અલગ વ્યક્તિ…..અલગ સમાજ …અલગ પ્રશ્નો ….અલગ અલગ આશાઓ, કલ્પનાઓ વિચારો અને અલગ દ્રષ્ટી કોણ ……અલગ વ્યથા અને અલગ અલગ સંવેદનાનો અનુભવ કરાવે છે……………..ફેસબુક એ મહાસાગર છે જ્યાં મહેનત કરો તો મિત્રો રૂપી મોતી મળવાના જ છે ………મળ્યા વગર એકબીજા સાથે સંવેદના અનુભવવી એ ૨૧મી સદીની મિત્રતાની નવી પરિભાષા છે ……….જ્યારે મળીએ છીએ ત્યારે વધુ આનંદ અનુભવાય છે જેમ બાળપણનો મિત્ર ૧૦ કે ૧૫ વર્ષે મળતો હોય એવી લાગણી અનુભવાય છે. આફ્ટર ઓલ માણસ સામાજિક પ્રાણી છે, જૂથ વગર ટોળા વગર બેચેની અનુભવે છે, એકલતા હતાશા પ્રેરે છે, ત્યાં એફ બી આ એકલતાનો પ્રભાવ કે અસર કૈંક અંશે ઓછી કરે છે …..પરદેશમાં અજાણ્યા લોકોની વચ્ચે રહેતા લોકો પણ આ માધ્યમ થકી પોતાને પોતાના દેશમાં રહેતો હોય એ રીતે જોડી રાખે છે. અને એમાં નોંધવા પાત્ર વાત એ છે કે એમાં વિષયો ની વિવિધતા ખુબજ છે સંગીત ……રાજનીતિ …સામાજિક ……..ફિલ્મ્સ …..સ્પોર્ટ્સ ..સાયકોલોજી ……હ્યુમર ……..સંવેદનશીલ કથાઓ જે વાચકો ના જીવન સાથે સંકળાયેલી હોય છે ……..આમ રસ ના વિષયો વધતા જ જાય છે જે સારો સંકેત છે.”

દક્ષિણ ભારતીય કાનુડાને પોતાના હ્રદયનો રાજકુમાર બનાવીને બેઠેલા એક સંવેદનશીલ ગૃહિણી નિવારોઝીન રાજકુમાર ફેસબુક મિત્રતા વિષે ખૂબ જ હકારાત્મક વિચારો ધરાવતા કહે છે,

આજે ….FACEBOOK..વિશે એક હકારાત્મક અભિગમ…!

(સામાન્ય રીતે જરાક જુદી રીતે …જોવાતું , ચર્ચાતું હોય છે)

Fb..એક સમાજ છે …અલગ અલગ ઓળખ અને વિચારો ધરાવતા લોકો અહિં પણ જોવા મળે છે…બસ થોડું ધ્યાન થી જોવાની , સમજવાની જરૂર પડે…

FB.. એક પરિવાર છે….જરૂર પડ્યે હૂંફ કે સહારો કે થોડા સમય માટે સાથ તો અહિં મળી જ શકે છે…અહિં તમારી વર્તુળની પસંદગી પર બહુ આધાર રહે….નાના નાના ઝઘડાઓ થતા અને મિટતા મેં ખુદ જોયા છે….

FB.. એક મિત્રતા છે , જે અહિં પણ તમારા મારા પર આધાર રાખે છે ..કે આપણે કઈ રીતે નિભાવી શકીએ છીએ…અપેક્ષાના ધોરણો તમારે નક્કી કરવાનાં….

FB.. એક શાળા છે…જ્યાં નવું નવું શીખવાની ઘણી તકો છે..જો ઇચ્છો તો…ઘણું મેળવી શકાય….સારુ મેળવી શકાય…..

FB ..એક સંગઠન છે….જ્યાંથી અનેક સામાજિક પ્રથા-કુપ્રથામાં ફેરફારો શક્ય છે…. awareness..પણ પેદા કરી શકાય….opinion…લઈ શકાય…

FB ..એક સબળ માધ્યમ છે …જેના દ્વારા છૂટા પડેલા અનેક મિત્રો તમે પાછા મેળવ્યા છે….

FB ..એક પ્રવૃતિ છે…પોતાની ધણી બધી આવડતો લોકોને બતાવવાનું ઉત્તમ …છે…સંગીત ,કાવ્યો , લેખો કે એવી કોઈ સ્વતંત્ર ..creativity…..ને અહિં બહોળો અવકાશ છે…

FB.. એક રામબાણ ઇલાજ છે …એકલતા દૂર કરવા માટેનો…જે અહિં જોડાયેલા કેટલાય senior citizens …ને કુટુંબ જેવો …અપનાપનનો અહેસાસ કરાવે છે…ઉપરાંત નકારાત્મક વિચારો થી દૂર રાખે છે…અને સૌથી જરૂરી વાત…એમને …i m wanted ….અનુભવ કરાવે છે..

તમને શું લાગે છે…….?”

    નિવારોઝીન બહેન તમને જે લાગે છે તે જ મને તો લાગે છે. બીજા મિત્રોને પણ એવું જ લાગતું હશે તેમાં કોઈ શક હાલ તો લાગતો નથી. વધુમાં એમનું કહેવું છે કે, ”ગુજરાતી ભાષા જાણે થોડા સમય પછી પાછી આળસ મરડીને ઊભી થઈ હોય એવું જ લાગે છે…..જોરદાર અભિવ્યક્તિઓ જોવા મળી રહી છે….ક્યારેક ન વ્યક્ત થયેલા આત્માઓ વ્યક્ત થઈ રહ્યા છે….જમાપાસા ઘણા છે…થોડા ખરાબ પાસા અવગણીએ તો…..

છોટે ગુગલ મહારાજ શ્રી પૃથ્વિરાજસિંહ રાણા પોતાનો અનુભવ દર્શાવતા કહે છે,

“હું પણ યાહૂ વખતે તેમાં ગાંડા બની ગયેલા લોકો ને જોતો હતો આખી રાત રાત ચેટિંગ કરતાં હોય છે ને એ વખતે પણ એવા જ લોકો હતા જેઓ ને રિયલ લાઇફમાં કોઈ દોસ્તો નહોતા અથવા તો મતી અનુસાર દોસ્તો નોહતા ,,,, બરોબર એવ જ સમયમાં મારે રાજકોટથી વાંકાનેર આવાનું બન્યું ને ત્યારે આહિયા અકિલા ન્યૂઝ વાંચવું સમયના પ્રમાણમાં થોડું અઘરું બન્યું ને તે લીધે વળી નાછૂટકે નેટ પર આવ્યો ને તેમાંથી મામાના એકાઉન્ટમાં થી રાઓલજીના લેખની નોટ વાંચવાનું શરૂ જ કરતો હતો ને ત્યાર થી પછી હું પણ ફેસબૂકનો વ્યસની ક્યારે બની ગયો એ પણ ખબર નો પડી. આમ તમે રાઓલજી મારા આ દુર્વ્યસન માટે સીધી રીતે જ જવાબદાર છો (ને સજા રૂપે તમારે અમેરિકન સ્કોચ પિવડાવી પડશે ખી ખી ખી) એ બાદ કોમેન્ટમાં અને શાયરો ને કવિઓ ને 10\10 ની અંદર માર્ક આપીને કૉમેન્ટ કરતો હતો ને એમાંથી ક્યારે પક્ષ કે પ્રતિપક્ષ કોમેન્ટને બાદમાં પોસ્ટ કરતાં થાય ગયો એ તો હવે ખ્યાલ પણ નથી..  હા આજે પણ ગમતી પોસ્ટ કે કોમેત્ન ને લાઈક તો આપું જ છું ,,,બને ત્યાં સુધી ફ્રેંડલિસ્ટ નાનું રાખવા ની કોશિશ કરું છું ને સિલેકટેડ લોકો સાથે જ વોટ્સએપ કે ડાઇરેક્ટ મળવા નું પસંદ કરું છું ,,,ફેસબૂક ફંડા માટે એટલું જ કહીશ કે અહિંયાં થી મને વધારે મળ્યું છે…… ગુમાવવાની નોબત હાલ સુધી તો આવી નથી…… આગળ અલ્લાહ માલિક……

એકદમ બેલેન્સ્ડ વિચારો ધરાવતા યુવાન મિત્ર કૃણાલ રાજપૂતે તો આ બાબતે આખો નિબંધ જ લખી નાખ્યો છે. છતાં ટૂંકમાં એમના શબ્દોમાં જ જોઈએ. “ ફેસબુક આભાસી દુનિયા છે પણ વાસ્તવિક દુનિયા છે તે પણ ક્યારેક આભાસી નીકળતી હોય તેવું લાગે છે. જે પ્રેમિકાને દિલથી પ્રેમ કર્યો હોય તે ટાટા બાય બાય કરીને જતી રહે ત્યારે એમ થાય કે તો વાસ્તવિક શું હતું ? ક્યારેક પોતાનો કોઈ જીગરી મિત્ર જ બે પૈસા કમાઈ લે અને આપણે તેને અમસ્તાં મિત્રભાવે જ મળવા પહોચી જઈએ અને તેની વાતોમાં ફોર્માલીટી અને પોતાની સકસેસના શો ઑફની વાતો વધારે આવી ગઈ હોય ત્યારે એમ થાય અલ્યા જીવ, આ તો કોસ્મેટીક સર્જરી કરેલું કોઈ બીજું પ્રાણી લાગે છે. ફેસબુક જોઈન કર્યું હતું ત્યારના મિત્રવર્તુળમાંથી ઘણા વાસ્તવિક જીવનમાં થાય છે તેમ વિખેરાઈ ગયા, કેટલાક વૈચારિક મતભેદોથી જૂથોમાં વહેંચાઈ ગયા, કેટલાક નવા ઉમેરાયા. આપે કહ્યું કે કોઈ મિત્ર લાઈક કે કૉમેન્ટ ના આપે તો ખોટું લાગે. કાલે જ એક મિત્ર સાથે વાત થતી હતી કે અમુક વખતે જે પોસ્ટ લખવામાં ૩-૪ કલાક બગડ્યો હોય અને જેને વાંચવામાં પણ ૫ થી ૧૦ મિનિટ લાગે તેવી પોસ્ટ પર પણ અમુક મિત્રો અરધી કે એક મિનિટ માં લાઈક આપી દે ત્યારે એમ લાગે કે મિલ્ખાસિંઘ માત્ર દોડવામાં નહિ વાંચવામાં પણ પેદા થાય છે. આવા લોકો વાંચવામાં મિલ્ખાસિંઘની સાથે સમજવામાં ખુસવંતસિંઘ પણ હોતા હશે. હું પોતે લાઈકની વાડકી વહેવારમાં માનતો નથી. વગર વિચારે કે વગર વાંચે યંત્રવત લાઈક આપવી એ મને વહેવારુ લાગતું નથી. ક્યારેક વાંચી ના શક્યો હોઉં કે કોઈ મુદ્દા પર સમજાયું ના હોય અથવા તો કોઈ મુદ્દા પર મારું પોતાનું મંતવ્ય સ્પષ્ટ ના હોય તો હું લાઈક નથી આપતો. જોકે મોટાભાગે આવી પરિસ્થિતિ નહિ વાંચી શકવાના કારણે આવી ગયી હોય છે. હાલ હવે નવા મિત્રો એડ કરવાના લીમીટેડ કર્યા છે તેનું કારણ એજ છે કે દરેકની પોસ્ટ વાંચી નથી શકાતી. જોકે ફેસબુક નવા મિત્રો પણ બનાવી આપે જેમાં કેટલાક સાથે વાસ્તવિક જીવનમાં પણ મિત્ર બને છે. કેટલાક સાથે માત્ર ફેસબુક પૂરતી જ રામાશ્યામા હોય છે. પોતાના વિચારો સમજી ના શકે તેવું સામાજિક વર્તુળ ના હોય તેઓ અહીં પોતાના વિચારો રજૂ કરે અને તેમના વિચારોને / ક્રિએટીવીટીને પ્રોત્સાહન આપનારા મળી રહે. કોઈને કવિતા લખવાનો શોખ હોય અને તેના સામાજિક વર્તુળમાં કવિતા સંભળાવવી એ અક્ષમ્ય અપરાધ હોય તો તે અહીં પોતાની ક્રિએટીવીટી દર્શાવી શકે છે. આવા લોકો અહીં ફેસબુક પર ભેગાં થઈને પોલીસની દખલ વગર એકબીજા પર કવિતામારો કરી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિને તેના વિચારો સમજી શકે તેવા લોકો મળે ત્યારે તેને એકલવાયું ના લાગે પણ જો ટોળામાં પણ તેના વિચારો સાથે કોઈ અનુકૂળ ના હોય તો તે એકલતા અનુભવે. ફેસબુક ભલે વર્ચુઅલ પ્લેટફોર્મ હોય પણ તેની પાછળના વ્યક્તિત્વો તો વાસ્તવિક જ હોય છે એટલે માનવ સ્વભાવગત રેફ્લેક્સન પણ અહીં જોવા મળે છે.”

વિદ્વાન મિત્ર શ્રી જયેન્દ્ર આશરા એમના કોઈ મિત્રનો દાખલો કહે છે, “અમારા એક-નવા મિત્ર 2-વર્ષ પહેલાં ફેસબુક ઉપર પાગલ-ની-જેમ ચીપકી ને લાંબી-લાંબી કૉમેન્ટ કરતા … અને અમે તેમને પાગલ સમજતા … પણ જ્યારે રૂબરૂ મળવાનું થયું ત્યારે ખબર પડી કે – “તેઓ પત્નીથી અત્યંત દુખી હતા અને ડીપ્રેશનમાં આવી ગયેલા એટલે પછી કોઈ મિત્રની સલાહથી ફેસબુક એકાઉન્ટ ખોલ્યું અને જાણે વર્ષો-જુના મિત્રો મળ્યા હોય તેમ તેમને અનુભવ્યું … અમારા આ મિત્ર ખુબજ સારી કવિતાઓ કરી અને તેમનું માનસિક સંતુલન જાળવે છે અને હવે તેમનો ડંકો ફાઇનાન્સીયલ-માર્કેટમાં પણ વાગવા માંડ્યો છે” …. ટૂંકમાં – તેમને જબર-જસત માનસિક આર્થિક રાહત મળી છે .” આ થયો ફેસબુકનો હકારાત્મક ઉપયોગ. વધુમાં શ્રી જયેન્દ્રભાઈ એમના પોતાના વિચારો ઉમેરે છે, “મારા તમામ વિચારસાથી-વિચારવીરોધી મિત્રો મને અત્યંત પ્રિય છે … અહીં ગજબનું બેલેન્સ છે … કોઈનું કે તમારું અભિમાન પણ નાં વધે … અને તમે જમીન ઉપર ચીપકીને રોજ નવું શીખો તેવું અદ્ભુત-પરોક્ષ ફલક તે તમારું ઓક્સીટોસીન-ડોપામાઈન કંટ્રોલમાં રાખે છે … જ્યારે અહીં ઈસ્ટ્રોજન-ટેસ્ટેસ્ટીરોન પણ ઊભરાય છે..”

જોયું મિત્રો? ફેસબૂકનાં ફાયદા અનેક છે તો ગેરફાયદા પણ છે. એમાં ફેસબૂકનો કોઈ વાંક નથી.

રેફરન્સ

        :   http://www.sciencemag.org/content/241/4865/540.short

        :   http://www.pnas.org/content/early/2011/03/22/1102693108.abstract

        :   http://www.psy.cmu.edu/~scohen/Pressman,%20S.,%20Cohen,%20S.,%20Miller,%20G.%20E.,%20Rabin,%20B.%20S.,%20Barker.pdf

મિત્રતા-ફેસબુક ફંડા

imagesCADB57MYમિત્રતા-ફેસબુક ફંડા

જંગલમાં એકલો રહેતો હોય કે જેલમાં કાળકોટડીમાં એકલો પૂરેલો હોય, માનવી પશુ-પ્રાણી કે કોઈ પણ જીવજંતુ ને મિત્ર બનાવી લેતો હોય છે. મિત્રતાનો આધાર ત્રણ બાબતો ઉપર હોય છે. કે ત્રણ પ્રકારની મિત્રતા હોય છે. એક મિત્રતા ઉપયોગિતા પર આધાર રાખતી હોય છે. બીજી મિત્રતા આનંદપ્રમોદ ઉપર આધાર રાખતી હોય છે અને ત્રીજી મિત્રતા નૈતિકતા કે ચારિત્ર્ય અને ગુણો કે આચારવિચાર ઉપર આધાર રાખતી હોય છે.

સ્કૂલમાં વિદ્યાર્થીઓ એકબીજાને નોટ્સ, પુસ્તકો અને સાધનો વગેરેની આપલે કરતા હોય છે. પડોશીઓ એકબીજાની વસ્તુઓ શેઅર કરતા હોય છે. અમારા પાડોશી શાંતાબેન બે મરચાં, એકાદ લીંબુ કે એકાદ ડુંગળી લેવા કાયમ આવી જતા. આવી મિત્રતાનો આધાર ઉપયોગિતા ઉપર ટકતો હોય છે. ઉપયોગિતા ખતમ મૈત્રી ખતમ.

ઘણા મિત્રો ખૂબ હસમુખા હોય છે. એમની કંપનીમાં આનંદ આવી જાય. જોડે ફિલમ જોવા જઈએ. કોઈ પ્રોગ્રામ માણવા જઈએ. ઘણા ખર્ચાળ પણ હોય મિત્રો માટે પૈસા ખર્ચતા વાર નાં કરે. આમ એક મૈત્રીનો આધાર આનંદ-પ્રમોદ, મોજશોખ હોય છે. આનંદ ખતમ મૈત્રી ખતમ.

સદાચાર, સદભાવ, સમાન વિચારસરણી, ગુણ આધારિત નૈતિક મિત્રતા કાયમ ટકી જતી હોય છે. આવી મિત્રતામાં આનંદપ્રમોદ અને ઉપયોગિતા સમાયેલી હોય તે વાત જુદી છે. આવા મિત્રતામાં એકબીજાની સારપ વધુ જોવાતી હોય છે. એમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ હોય છે.

એક ઇન્ટરનેશનલ અભ્યાસ (McAndrew & Jeong, 2012) મુજબ ફેસબુકમાં સૌથી વધુ એક્ટીવ યુવાનો, સ્ત્રીઓ અને સિંગલ હોય છે. તેઓ ઇમ્પ્રેશન વધારવા માટે ફોટા, સ્ટેટ્સ અને પોસ્ટ અપડેટ કરવા બીજા લોકો કરતા વધુ સમય ફેસબુક પર ગાળતા હોય છે. ઓલ્ડર યુઝર્સ ફેમિલી રીલેટેડ ફેસબુક એક્ટીવીટીમાં વધુ વ્યસ્ત હોય છે. ટૂંકમાં યુવાન સ્ત્રીઓ ઇચ્છતી હોય કે લોકો તેમને વધુ જુવે અને ઓલ્ડર યુઝર્સ ફેમિલી સાથે સંપર્કમાં રહેવા ઇચ્છતા હોય છે.

રોજીંદી જીવન ઘટમાળમાં આપણે નાના મોટા અસ્વીકાર અવહેલના ભોગવતા જ હોઈએ છીએ. સાથે કામ કરતા સાથીઓ આપણને મૂકીને લંચ લેવા જતા રહેતા હોય, સગાસંબંધી આપણો જન્મદિવસ ભૂલી જતા હોય, પડોશીઓ એમના ત્યાં રાખેલી પાર્ટીમાં આમંત્રણ આપતા નથી, મિત્રો આપણને મૂકીને ફિલ્મ જોવા જતા રહેતા હોય, પતિ કે પત્ની એકબીજાની કામેચ્છા પૂરી કરવાની વિનંતીનો કઠોર અસ્વીકાર કરતા હોય, કોઈને કોઈ દ્વારા આપણી લાગણીઓ ઘવાયા વગર ભાગ્યેજ કોઈ દિવસ કે અઠવાડિયું પસાર થાય. પણ હવે Facebook, Twitter, Linkedin, Instagram જેવી અનેક સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ આપણને લાગણીઓમાં તરબતર કરવા આવી પહોચ્યાં છે, પણ જેટલી સ્વીકારની સંભાવનાઓ વધે તેમ અસ્વીકારની સંભાવનાઓ પણ ખૂબ વધી જતી હોય છે. એટલે કોઈ મિત્ર લાઈક આપવાનું ભૂલી જાય કે રિટ્વીટ કરવાનું ભૂલી જાય ત્યારે પેલાં રિઅલ લાઇફ રિજેક્શન જેવું અહીં પણ અનુભવાય છે. આપણા ટહુકા નો કોઈ પ્રતિસાદ આપવામાંથી છટકી જાય ત્યારે ખૂબ લાગી આવતું હોય છે. લાઈક કોમેન્ટ્સનાં વાટકીવ્યવહાર ના સચવાય તે એક જાતનો સામાજિક બહિષ્કાર જેવું લાગતું હોય છે.

સમજો જ્યારે આપણે કાયમ પાડોશીને નાની મોટી પાર્ટીમાં યાદ રાખીને બોલાવતા હોઈએ પણ તેના ઘેર પ્રસંગ આવે ત્યારે આપણને ભૂલી જાય ત્યારે જે દુઃખ થાય કે લાગણી ઘવાય છે તેવી જ સરખી અનુભૂતિ અહીં ફેસબુકમાં તમને કોઈ મિત્ર દ્વારા લાઈક કે પ્રતિભાવ નાં મળે ત્યારે થતી હોય છે. શારીરિક પેએન વખતે બ્રેનમાં જે વિભાગો વધુ હલચલ બતાવે છે તે જ વિભાગો સામાજિક અસ્વીકાર વખતે પણ વધુ હલચલ બતાવતા હોય છે. એટલે તમને પગમાં ઠેસ વાગે અને અંગૂઠામાં દુખાવો થાય ત્યારે, અને કોઈ સગા એમના ઘેર સારા પ્રસંગે આપણને યાદ નાં કરે અને આપણી લાગણી ઘવાય ત્યારે, અને આપણો મિત્ર આપણી પોસ્ટને લાઈક નાં આપે કે પ્રતિભાવ નાં આપે ત્યારે બ્રેનમાં સેઇમ વિભાગ એક્ટીવ થતા હોય છે. જો આટલું સમજાઈ જાય તો હવે કોઈ લાઈક નાં આપે તો દુઃખ ઓછું થશે.

ઘણીવાર આપણે વધુ પડતું વિચારી લેતા હોઈએ છીએ. માનો કે આપણે કોઈને Linkedin માં જોડાવા આપણી સાથે આમંત્રણ આપીએ પણ તે સ્વીકારે નહિ તો ખોટું લાગતું હોય છે પણ એવું બને કે પેલો ભાઈ Linkedin કદી ખોલતો જ નાં હોય કે વાપરતો જ નાં હોય. હું પોતે ટ્વીટર પર જતો નથી. મારા લેખોની લિંક ઓટ્મેટિક ટ્વીટર પર આવી જતી હોય છે. હું ગુગલ પ્લસ પણ ખાસ વાપરતો નથી. એટલે મને તે સાઈટ્સ પર કોઈ શું કરે મને ખાસ ખબર હોતી નથી. ફેસબુક ઉપર પણ હું આખો દિવસ હોઉં નહિ. બીજું અમારો ટાઈમ ડિફરન્સ પણ ધ્યાનમાં રાખવો પડે. અમારો સુવાનો ટાઈમ થાય ત્યારે તમે કોઈ પોસ્ટ મૂકી હોય જેની અમને જાણ થાય નહિ. હજારો પોસ્ટ અને સ્ટેટ્સ મૂકાતાં હોય ત્યાં કોઈ મિત્રનું ક્યાંય પહોચી ગયું હોય દેખાય પણ નહિ. એટલે જો આપણને સોશિઅલ મીડિયા પર ૧૦૦૦ વખત અસ્વીકાર(રિજેક્શન) અનુભવાય ત્યારે ૯૯૯ વખત કોઈનો અંગત ઇરાદો એવું કરવાનો હોતો નથી. ઘણી બધી જાતજાતની પોસ્ટ મૂકાતી હોય, ફોટા હજારો જાતના મુકાતા હોય છે. મને પોતાને ફોટા મૂકવામાં રસ નથી પડતો. અને એવા મૂકેલા ફોટા પ્રત્યે મારું ખાસ ધ્યાન પણ નાં હોય. દરેકના રસ જુદાજુદા હોય. એટલે જેટલું સોશિઅલ મીડિયા પર સમૃદ્ધ થવાની તકો હોય તેટલી જ તકો રિજેકશનની પણ હોય છે.

ફેસબુક પર લાખો પેજ છે. હેલ્થને લગતા હજારો પેજ હશે. હજારો લાખો ગ્રુપ્સ ચાલતા હશે. જેને જે ભાવે તેમાં જોડાઈ જાય. પોતાના ધંધાની જાહેરાતના પેજ હોય છે તેમ નિઃસ્વાર્થ સેવાભાવી સંસ્થાઓના પણ પેજ છે. આતો જાહેર અન્નકૂટ છે જેને જે ભાવે તે ખાઈ લે.

ફેસબુક વાપરતા બાળકોનાં માતાપિતા ચિંતા કરતા હશે કે એનાથી બાળકોની બુદ્ધિમત્તા પર અસર પડશે. પણ એક અભ્યાસ એનાથી ઊલટું કહે છે. જો કે વધુ પડતો ઉપયોગ સમય બગાડે તે હકીકત છે. પણ અભ્યાસ જતાવે છે કે જે ૧૫-૧૮ વર્ષના બાળકો એક વર્ષ કરતા વધુ સમયથી ફેસબુક વાપરતા હોય તેઓની વર્કિંગ મૅમરી, વર્બલ આઈ કયું, અને સ્પેલિંગ જ્ઞાન એક વર્ષ કરતા ઓછા સમયથી ફેસબુક પર એક્ટીવ હોય તે બાળકો કરતા વધુ હોય છે. કારણ આખી દુનિયામાંથી માહિતીનો ધોધ અહીં વહેતો હોય છે. એની સાથે અનાયાસે રમતા રમતા અનાયાસે ચિંતનમનન થઈ જતું હોય છે.

એક અભ્યાસ જણાવે છે કે ૫૦ વર્ષ વટાવ્યા પછી એકલતા માનવીમાં બ્લડ પ્રેશર વધારવાનું કામ કરતી હોય છે. એટલે એકલતાના નિવારણ માટે મિત્રો હોય તે જરૂરી છે. પણ એવું જરૂરી નથી કે એકલતા દૂર કરવા અસંખ્ય મિત્રો જોઈએ. કે જેમ મિત્રો વધુ તેમ એકલતા વધુ દૂર રહે. એકલતા તમે કેટલા એકલા છો તેના પર આધાર નથી રાખતી પણ તમે કેટલું એકલવાયું અનુભવો છો તેના પર આધાર રાખે છે. ઘણીવાર સગાંસંબંધીઓનાં ટોળા વચ્ચે પણ માણસ એકલતા અનુભવતો હોય છે. ક્યારેક બહુ મોટી પાર્ટીમાં પણ ઘણીવાર એકલતા અનુભવાતી હોય છે. અને ક્યારેક મારા જેવાને સારા પુસ્તકો વાંચવા મળી જાય તો એકલો હોઉં તો પણ એકલતા લાગે નહિ..આમ મિત્રતામાં ગુણવત્તા વધુ મહત્વની છે સંખ્યા નહિ. બહુ ઓછા મિત્રો સાથે પણ એકલતા નિવારી શકાતી હોય છે. અરે! જેની હાજરીમાં એકલતા ગાયબ થઈ જાય તે સારો મિત્ર, બોર નાં કરે તે સારો મિત્ર, જેની હાજરીમાં કમ્ફર્ટેબલ ફીલ કરી શકાય, જેને મળીને જ ખુશ થઈ જવાય, તે સારો મિત્ર..

ફેસબુક પર ગમે તેટલા ફ્રેન્ડસ હોય ખરેખર આપણે બહુ ઓછા મિત્રો સાથે interact ક્રિયાપ્રતિક્રિયા કરી શકતા હોઈએ છીએ. ૫૦૦ મિત્રો ફેસબુક પર હોય તો ભાગ્યેજ ૧૫-૧૭ મિત્રો સાથે અરસપરસ interact કરી શકતા હોઈએ છીએ એવું એક અભ્યાસ બતાવે છે. આ વર્ચ્યૂઅલ ફેન્ડશીપ ક્યારેક રિઅલ મિત્રતામાં પણ બદલાઈ જતી હોય છે. પરદેશમાં રહેતા ફેસબુક મિત્રો દેશમાં આવીને વર્ચ્યૂઅલ મિત્રોની મુલાકાત લઈને એમને રિઅલ મિત્રો પણ બનાવી લેતા હોય છે.

ફેસબુક કે બીજી કોઈપણ સોશિઅલ વેબસાઈટ ઘણા માટે જાત સાથેની ઓળખ પણ બની શકતું હોય છે. હું શરૂમાં ફેસબુક પર ખાસ આવતો નહિ. મને ખુદને ખબર નહોતી કે આ ઇન્ટરનેટ મને લખતા કરી દેશે. મેં સપને પણ વિચાર્યું નહોતું કે હું લખતો થઈ જઈશ. શરૂમાં મેં ઓનલાઇન વાંચવા મળતા દિવ્યભાસ્કરમાં કોઈ લેખ નીચે ટિપ્પણી લખવાનું શરુ કરેલું. એમાંથી પોતાનો બ્લોગ બનાવી લખવાનું શરુ કરેલું. તે સમયે મારા વિચારો અસ્તવ્યસ્ત રીતે લખીને બ્લોગમાં મૂકતો થયેલો. પણ બીજા બ્લોગર મિત્રોએ એને સરાહવાનું શરુ કર્યું એમાં મને વધુને વધુ લખવાની ચાનક ચઢવા લાગી. ધીમે ધીમે ઘડાતો ગયો અને લખાણ પણ સુધરતું ગયું. ફેસબુક પર ભાગ્યેજ આવતો. ફેસબુક પર સૌ પ્રથમ મારી જાહેર ઓળખ આપનાર મિત્ર દર્શિત ગોસ્વામી બન્યા. એમણે મારો એક લેખ મારા નામ સાથે ફેસબુક પર પ્રસિદ્ધ કર્યો એને મિશ્ર પ્રતિભાવો મળેલા. થેન્ક્સ દર્શિત.

ફેસબુક દ્વારા મને ખૂબ સારા મિત્રો મળ્યા છે. તમારી અંદર છુપાયેલી પ્રતિભા બહાર કાઢવાનું ફેસબુક સારું માધ્યમ બની શકે છે. ઈમેલ અને બ્લોગ દ્વારા બહુ ઓછા મિત્રો સાથે સંપર્કમાં રહી શકાય છે પણ ફેસબુક દ્વારા એકસાથે અનેક મિત્રો અને સગાસંબંધી સાથે સંપર્કમાં રહી શકાય છે. જૂની ઓળખાણો તાજી થતી હોય છે. કોઈપણ વસ્તુની સારીનરસી બાજુઓ હોય છે તેમ ફેસબુકને પણ હોય છે. કૉલેજ સ્ટુડન્ટ વચ્ચે કરાયેલો એક અભ્યાસ જતાવે છે કે જે લોકો ફેસબુક ઉપર પોસ્ટ અને સ્ટેટ્સ વધુમાં વધુ અપડેટ કરતા રહેતા હોય છે તેઓ સામાન્ય સંખ્યામાં સ્ટેટ્સ અને પોસ્ટ અપડેટ કરતા લોકોની સરખામણીએ ઓછી એકલતા અનુભવતા હોય છે.

સારી તંદુરસ્તી માટે આપણને ખબર છે કે પૌષ્ટિક ખોરાક લો, નિયમિત કસરત કરો, અને પૂરતો આરામ કરો, પણ કેટલા જાણે છે કે એની સાથે સામાજિક જોડાણ પણ મહત્વ ધરાવે છે? સામાજિક જોડાણ શારીરિક અને માનસિક હેલ્થ ઈમ્પ્રુવ કરે છે તે પણ જાણવા જેવું છે. વધુ પડતું વજન હેલ્થ માટે નુકસાનકારક છે જ પણ તેના કરતા વધુ નુકશાન જો તમે સામાજિક સંબંધો નાં ધરાવતા હોવ ત્યારે થતું હોય છે તેવું પણ એક અભ્યાસ જણાવે છે. ખૂબ મજબૂત સોશિઅલ કનેક્શન ધરાવતા લોકોનું આયુષ્ય વધવાના ચાન્સ ૫૦ ટકા વધી જતા હોય છે. સોશિઅલ કનેક્શન આપણી ઈમ્યુન સિસ્ટિમ મજબૂત કરે છે. Steve Cole નામના વૈજ્ઞાનિકે રિસર્ચ કરેલું છે કે સોશિઅલ કનેક્શન આપણી ઈમ્યુન સિસ્ટિમ ઈમ્પ્રુવ કરે છે જેના લીધે બીમારીમાંથી જલદી બહાર આવી જવાય છે અને તેના લીધે આયુષ્ય પણ વધે છે. જે સામાજિક રીતે બીજા લોકો સાથે વધુ કનેક્ટેડ હોય છે તેઓને anxiety અને depression ઓછું થતું હોય છે. સામાજિક મજબૂત જોડાણ સેલ્ફ એસ્ટીમ વધારે છે, બીજા પ્રત્યે સહાનુભૂતિમાં વધારો કરે છે સાથે સાથે સહકારની ભાવના વિકસે છે, તેનો લાભ બીજાને મળે તો સામેથી આપણને પણ મળતો જ હોય છે. “પરસ્પર દેવો ભવઃ”

ઓછું સામાજિક જોડાણ ધરાવતા લોકોની શારીરિક અને માનસિક હેલ્થ ઓછી થતી જાય છે જેના લીધે એન્ટીસોશિઅલ પ્રવૃત્તિ વધવાનું જોખમ પણ વધી જતું હોય છે તેમ તેમ એકલા પડવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે. એન્ગઝાયટિ, ડિપ્રેશન અને અસામાજિક વૃત્તિઓ સામે અસહાયતા ક્યારેક આત્મહત્યા તરફ દોરી જાય છે.  We are biologically, cognitively, physically, and spiritually wired to love, to be loved, and to belong. આવું ના બને તો ભાંગી પડાતું હોય છે, સંવેદનહીન બની જવાતું હોય છે જે એકંદરે નુકશાન કરતું હોય છે. આપણે વિચારીએ છીએ કે આપણે ધનિક થવા માંગીએ છીએ, સત્તા અને પ્રસિદ્ધિ મેળવવા માંગીએ છીએ, સૌન્દર્ય અને અમર યુવાની ઇચ્છીએ છીએ, નવી કાર જોઈએ છે, પણ આ બધી ઇચ્છાઓના મૂળમાં સામાજિક સ્વીકાર ઇચ્છતા હોઈએ છીએ, કોઈને પોતાના બનાવવા અને કોઈના બનવા માંગતા હોઈએ છીએ. હવા, ખોરાક અને પાણી સાથે સોશિઅલ કનેક્શન આપણી મૂળભૂત ચોથી જરૂરિયાત છે.

મૂવી જોતા વખતે આપણે ભૂલી જતા હોઈએ છીએ કે આ પડદા પર નૃત્ય કરતા દ્ગશ્યોના ટુકડા એકધારા લયમાં ઝડપથી પસાર થતા પારદર્શક ચિત્રો જ છે. આપણે એમાં માનસિક રીતે ઇન્વોલ્વ થઈ જતા હોઈએ છીએ. બસ તેવું જ ફેસબુક જેવા વર્ચ્યૂઅલ જગતનું પણ છે. અને ખરેખર આ વર્ચ્યૂઅલ જગત વર્ચ્યૂઅલ પૂરેપૂરું હોતું પણ નથી. ભલે આપણે ફેસબુક મિત્રોને મળ્યા નાં હોઈએ પણ હકીકતમાં તેઓ બીજા દેશમાં કે શહેરમાં બેઠેલા હોય છે તો ખરા જ. ફેક આઈડી પાછળ પણ કોઈ જીવંત વ્યક્તિ છુપાયેલો તો હોય જ છે. એવા મિત્રોને ખરેખર મળવાના ચાન્સ ૧૦૦ ટકા હોય જ છે. એટલે ભલે ના મળ્યા હોઈએ એમના સુખે સુખી અને એમના દુઃખે દુઃખી પણ થવાતું જ હોય છે, એના માટે કોઈ રિસર્ચની જરૂર નથી. જેને હું કાયમ ઝાઝું લક કહીને સંબોધન કરતો હતો તે ઝલક પાઠકની કાયમી વિદાયનાં સમાચાર સાંભળી વહેલા આંસુ વર્ચ્યૂઅલ નહોતા તે એની સાબિતી છે.

રેફરન્સ

        :   http://www.sciencemag.org/content/241/4865/540.short

        :   http://www.pnas.org/content/early/2011/03/22/1102693108.abstract

        :   http://www.psy.cmu.edu/~scohen/Pressman,%20S.,%20Cohen,%20S.,%20Miller,%20G.%20E.,%20Rabin,%20B.%20S.,%20Barker.pdf

ગપોડી લેખકો-૧

 euthanasiaમૃત્યુનું માહાત્મ્ય નામના એક પુસ્તકમાંથી કેટલાક અંશ હમણાં અચાનક વાંચવામાં આવ્યા. ડોસા સાવ ઘરડા થઈ ગયા હોય દવાઓ ચાલતી હોય, ઘરના સભ્યો કંટાળી ગયા હોય, ડોસો મરે તો સારું તેવા મતલબના વાક્યો અંદર લખેલા હતા. પણ એમાં મહાન લેખકનો લખેલો એક ફકરો વાંચી ચમકી જવાયું કે કેવું મનઘડંત લખે છે? શબ્દો એવા વાપરે છે કે વાંચનાર જો વિચારે જ નહિ તો કેવી ખોટી માન્યતા ઘર કરી જાય? ચાલો લેખકે લખેલા ફકરાભાઈને શબ્દશઃ નીચે ઉતારુ.

“ઘરનાં બધાંયની પ્રબળ ઇચ્છા હોય કે, ડોસાનું શરીર છૂટે તો સારું. ડોસાને પણ બંધનરૂપ બનેલા શરીરથી છૂટવાની ખૂબખૂબ ઇચ્છા હોય, પરંતુ તેને છોડાવે કોણ ? પશ્ચિમના દેશોમાં તો શારીરિક પીડાથી ભયંકર કષ્ટ પામતા માણસને ગોળીથી ઠાર કરી દેવાય છે. અગર તો ઝેર દઈને મારી નાખવામાં આવે છે. આને Mercy Death કહે છે. આપણા દેશમાં ડોસાને ઝેર આપીને કોઈ મારી નાખતું નથી. આવા Mercy Deathનો પ્રયોગ કરવાની પણ કોઈની જિગર ચાલે નહિ.”

ઉપરનો ફકરો વાંચી પહેલી ઇમ્પ્રેશન એવી પડે કે પશ્ચિમના લોકો કેટલા ક્રૂર હોય છે કે ઘરડા લોકોને ગોળીથી ઠાર કરી દે. અને જાણે આ બધું લીગલ હોય તેમ લાગે છે. આ ગ્રેટ લેખકનું નામ હીરાભાઈ ઠક્કર છે. અગાઉ ‘કર્મનો સિદ્ધાંત’ નામના પુસ્તકમાં મનઘડંત બનાવટી ઉદાહરણ આપી ચૂક્યા છે. Mercy Death ને Euthanasia કહેવામાં આવે છે. અને તે ઘણા દેશોમાં લીગલ છે પણ એના અનેક નિયમો છે. એમ કાંઈ કોઈને ગોળી મારી દેવાય નહિ, અને ગોળી મારવું તો ક્યાંય લીગલ છે જ નહીં. અહીં એક સ્ટેટમાં કોઈ ડોસાએ એની વર્ષોથી બીમાર ડોસીને મારી નાખી હશે તો પોલીસે એને જેલમાં પૂરી દીધેલો. મર્સી ડેથ માટે કોર્ટમાં બહુ લાંબો જંગ લડવો પડતો હોય છે અને પરમિશન મળ્યા પછી સહેલો ઉપાય દર્દીને જે લાઇફ સપોર્ટ પર રાખ્યો હોય તે સિમ્પ્લી હટાવી લેવાના હોય છે. અમુક કેસમાં દર્દીને પહેલા Barbiturate આપી બેભાન કરી નાખવામાં આવે પછી Potassium Chloride આપી એનું હાર્ટ સ્ટૉપ કરવામાં આવતું હોય છે. એકદમ પેએનલેસ ડેથ હોય છે. છતાં અમેરિકાના બધા સ્ટેટમાં Euthanasia લીગલ નથી.

ભારતમાં Euthanasia વિષે હજુ કોઈ પ્રોપર કાયદો છે નહિ. Passive euthanasia ભારતમાં લીગલ છે. ૩૭ વર્ષ કોમામાં રહેલી મુંબઈની અરુણા શાનબાગના કેસ પછી સુપ્રીમ કોર્ટે  Passive euthanasia ને છૂટ આપી છે, એમાં ખાલી લાઇફ સપોર્ટ હટાવી લેવાના હોય છે. તે પણ હાઇકોર્ટની પરમિશન લેવી પડે. તામિલનાડુના અમુક જિલ્લાઓમાં ગેરકાયદે હોવા છતાં ઘરડા બીમાર લોકોને મારી નાખવામાં આવે છે તેને Thalaikoothal કહે છે. ગાયનું દૂધ પિવડાવતી વખતે નાક બંધ કરી શ્વાસ રૂંધી, તેલમાં નવડાવી, ઝેર આપી, માથે પુષ્કળ ઠંડુ પાણી રેડી બૉડી ટેમ્પરેચર એકદમ ઘટાડી હાર્ટ ફેઇલ કરી, પુષ્કળ નળિયેર પાણી પિવડાવી કીડની ફેઇલ કરી ક્રુરતાપુર્વક મારી નાખવામાં આવે છે. કદાચ આ બધું હીરાભાઈ ઠક્કરને ખબર નહિ હોય.

અમેરિકા જોયા વગર, જાણ્યા વગર ભારતના લેખકો પુષ્કળ ગપ્પા મારતા હોય છે. સામાન્ય જન સાચું માની લે કારણ લેખક બહુ મોટી પ્રતિષ્ઠા મેળવી ચૂક્યા હોય છે. અહીં પણ એક જ સ્ત્રી કે પુરુષ સાથે ૫૦-૬૦ વર્ષ લાંબું સુંદર લગ્નજીવન વિતાવતા વૃદ્ધ કપલ જોવા મળે છે. અહીં પણ બીમાર પત્નીની સેવા કરતા પતિદેવો મેં જાતે જોયા છે. અહીં પણ માબાપની સેવા કરતા સંતાનો જોવા મળે જ છે. આશરે ૪૦ લાખ અમેરિકન કુટુંબ ત્રણચાર પેઢીનાં(દાદા, દાદી, પુત્ર પૌત્રાદી) મેમ્બર એક જ ઘરમાં સંયુક્ત રહે છે. દરેકનું પોતાનું કલ્ચર છે. આપણું જ કલ્ચર મહાન બીજાનું ખરાબ તેવું પણ નાં હોય.

હવે અહીં અમેરિકનોમાં બાળકો પેદા કરવાને બદલે ઇથિયોપિયા જેવા ગરીબ આફ્રિકન દેશોમાંથી બાળકો દત્તક લઈને પારકાને પોતાના બનાવવાનો જબરદસ્ત રિવાજ શરુ થયો છે. આ માનવતા નથી તો શું છે? એમાં આપણા ગુજરાતીઓ પણ જરાય પાછળ નથી. મારા એક ગુજરાતી ડૉક્ટર મિત્રનો પુત્ર અમેરિકન-જાપાનીઝ છોકરી સાથે પરણ્યો છે અને ઇથિયોપિયાથી બાળકો દત્તક લઈ આવ્યો છે. ગુજરાતી ડોક્ટરદાદા પ્રેમથી એમને રમાડે પણ છે. ભગવાનમાં નહિ પણ માનવતામાં માનતા ખરા અર્થમાં વસુધૈવ કુટુમ્બકમ જીવતા આ ગુજરાતી ફૅમિલીને પ્રણામ કરવા પડે.

કોઈપણ જાતના પુરાવા વગર લખતા ગપોડી લેખકોને હવે ઓળખી લેવા જોઈએ.

આવો બીજો દાખલો નવા લેખમાં ફરી આપીશ..

ભૂખ લગે તો ખાના ખાઓ ડર લગે તો ગાના ગાઓ-૨

imagesCA8VIC92ભૂખ લગે તો ખાના ખાઓ ડર લગે તો ગાના ગાઓ-૨

જ્યારે આપણે કોઈ અજાણ્યા ને જોઈએ ત્યારે કે કોઈ અજાણ્યા સાથે મુલાકાત થાય ત્યારે આપણું એમિગ્ડલા (amygdala) સ્ટ્રેસ હૉર્મોન રિલિસ કરતું હોય છે. આ એક ચેતવણી સૂચક છે. અજાણ્યો જોખમકારક પણ હોઈ શકે. આપણી સોસાયટીમાં કોઈ અજાણ્યા ચહેરાને ચક્કર મારતા જોઈએ કે કોઈ નવો રહેવાસી આવે ત્યારે પણ આવું જ થાય. મતલબ અજાણ્યાથી દૂર રહેવું સારુ કે એનાથી દૂર ભાગી જવું, ખોટું જોખમ લેવું ? પણ સાથે સાથે અચેતનરૂપે  Social Engagement System શરૂ થતી હોય છે. કારણ અજાણ્યો માનવી પણ અચેતનરૂપે સિગ્નલ મોકલતો હોય છે, જેવું કે સામે જોઈને હસવું. હવે આ સિગ્નલ વડે લાગે કે કોઈ જોખમ જેવું લાગતું નથી કે અજાણ્યાનો વિશ્વાસ કરાય તેવો છે ત્યારે સોશિઅલ ઇંગેજમન્ટ સિસ્ટમ “Vagal Brake” શરુ કરે છે, (neurological stimulation of the vagus nerve, that slows the heart and causes the parasympathetic nervous system to reduce arousal).

ધારો કે આપણને કોઈ પાર્ટી કે કોઈ લગ્ન પ્રસંગે જવાનું આમંત્રણ મળી ગયું છે અને તે દિવસ આવતાં આપણે ત્યાં સ્થળ ઉપર જઈએ છીએ. હવે જેણે આમંત્રણ આપ્યું હોય તે આવકારવા દેખાય નહીં અને સાવ અજાણ્યા ચહેરા નજરે આવે તો એમિગ્ડલા તરત સ્ટ્રેસ હૉર્મોન સ્ત્રાવ કરશે. તો પહેલો રિસ્પૉન્સ એવો આવશે કે ચાલો ઘેર જતા રહીએ. સ્થળ છોડી જવાથી તરત રાહત થઈ જાય પણ ભલે અજાણ્યો હોય કોઈ માનવી સામે જોઈ મલકાશે અથવા કેમ છો કહી વાતચીત કરવાનો પ્રયત્ન કરશે તો તરત પેલી તાત્કાલીક ઘેર જવાની ઇચ્છા અદ્રશ્ય થઈ જશે. છતાં હજુ એમિગ્ડલા સ્ટ્રેસ હૉર્મોન સ્ત્રાવ કરવાનું ચાલું જ રાખશે કારણ હજુ પેલો માનવી અજાણ્યો છે. આ સ્ટ્રેસ હૉર્મોનના લીધે હાર્ટ બીટ મિનિટના ૧૦૦ કરતાં વધી જવાના. થોડી વધુ વાતચીત થાય, કોઈ નવી ઓળખાણ નીકળે અને આપણી સોશિઅલ ઇંગજમન્ટ સિસ્ટમ વાંચી લે કે અજાણ્યો લાગતો માણસ કોઈ જોખમી નથી Vagal Brake શરૂ જે હાર્ટ બીટ ૧૦૦ ઉપરથી ૭૦ ઉપર લાવી મૂકશે.

સોશિઅલ ઇંગજમન્ટ સિસ્ટમ પાસે એક બીજી વધારાની સગવડ છે તમને શાંત પાડવાની. તે anti-anxiety hormone oxytocin સ્ત્રાવ કરશે. જે ફિઅર સિસ્ટમનું શટર બંધ કરશે. ઑક્સિટોસિન એમિગ્ડલાને સતત સ્ટ્રેસ હૉર્મોન છોડતું હંગામી ધોરણે અટકાવશે. ફિઅર સિસ્ટમના દ્વાર બ્રેન કેમ બંધ કરતું હોય છે ? Nothing is more important in biology than reproduction. હવે આ અજાણ્યા ભાઈ જે આપણી સાથે વાતચીત કરીને સંબંધ વધારી રહ્યા છે તેમની બાજુમાં કોઈ યુવતી આવી જાય એમને શોધતી શોધતી તો ? એમિગ્ડલા જે સ્ટ્રેસ હૉર્મોન્સ સ્ત્રાવ કરતું હોય છે તેના ઉપર નિયંત્રણ આવી જશે. Inhibition of the amygdala facilitates mating with a person who is genetically dissimilar. હવે ઘેર જવાનું મન નહીં થાય. હાહાહાહાહાહા ! ! !

ઑક્સિટોસિન મન ઉપર “do not disturb” લખેલું પાટિયું સમજો. બે પ્રેમીઓ એકબીજાની આંખોમાં જોઈ રહ્યાં હોય ત્યારે બંનેના બ્રેનમાં ઑક્સિટોસિન સ્ત્રાવ થતો હોય છે. એક માતા એના બાળકને ધવરાવતી હોય ત્યારે બંનેના બ્રેનમાં ઑક્સિટોસિન સ્ત્રાવ થતો હોય છે.

ભૂખ લગે તો ખાના ખાઓ ડર લગે તો ગાના ગાઓ-૧

 imagesCANE1PHGભૂખ લગે તો ખાના ખાઓ ડર લગે તો ગાના ગાઓ-૧

ખાવાની ઇચ્છા ઘણીવાર કાબૂ બહાર જતી રહેતી હોય છે. વજન વધી ગયું હોય, કોલેસ્ટેરોલ વધી ગયું હોય, શુગર વધી જતી હોય છતાં ખાવાની ઇચ્છા કાબૂમાં રહેતી નથી. એનાં ઘણાં કારણો હોઈ શકે. સ્ત્રીઓને ગળ્યું ખાવાની ઇચ્છા પુરુષો કરતાં ઍવરિજ વધુ થતી હોય છે. સ્ત્રીઓમાં મેન્સ્ટ્રુઅલ સાઇકલ વખતે હોર્મોનલ બૅલન્સ ખોરવાઈ જતું હોય છે. એની અસર ઍપિટાઇટ અને ઇટિંગ બિહેવ્યર ઉપર પડતી હોય છે. ઑવ્યુલેશન અને પિરિઅડ પ્રથમ દિવસ વચ્ચે સ્ત્રીઓને વધારે એનર્જી ની જરૂર પડતી હોય છે. તેવા સમયે ગળ્યું ખાવાની તીવ્ર ઇચ્છા થતી હોય છે એનું કારણ એ કે શર્કરા સીધી લોહીમાં ભળીને એનર્જી આપતી હોય છે. આવા સમયે ઘણી સ્ત્રીઓને કઠોળ ખાવાની ઇચ્છા પણ જાગતી હોય છે. કારણ છે તે સમયે લીન પ્રોટીન પણ વધુ જોઈએ. ટૂંકમાં આ બધું સભાનપણે થાય નહીં અને શરીરને ચોક્કસ શું જોઇએ છે તે સમજ પડે નહીં પણ વધુ ખાવાની ઇચ્છા થાય તે સ્વાભાવિક છે.

એક બીજુ કારણ એ પણ છે કે ઑવ્યુલેશન પછી “feel good” hormone (serotonin) લેવલ ઓછું થઈ જતું હોય છે જે સ્ત્રીઓમાં ડિપ્રેશન લાવતું હોય છે. તેવા સમયે કાર્બોહાઇડ્રેટ ખાવા મતલબ ગળ્યું ખાવું સિરોટોનિન લેવલ વધારતું હોય છે. પહેલા સ્ત્રીઓ લાપસી, શીરો, સુખડી ખાવામાં રસ વધુ ધરાવતી તો આજની આધુનિક  યુવતીઓ ચોકલેટ આઇસક્રીમ ખાવામાં વધુ રસ ધરાવતી હોય છે. આમ વધુ ખાવાની ઇચ્છા તે ડિપ્રેશન દૂર કરવાની દવા છે જે શરીર જાતે જ કરતું હોય છે. મતલબ સિરોટોનિન લેવલ વધારવા અને એક્સ્ટ્રા એનર્જી મેળવવા ખાવાની ઇચ્છા વધી જતી હોય છે અને ખાસ તો ગળ્યું ખાવાની. છે ને ઇન્ટરેસ્ટિંગ?

હૉર્મોનની વાત કરીએ છે તો સ્ટ્રેસ હૉર્મોન cortisol ને ભૂલાય નહીં. જ્યારે આપણે સ્ટ્રેસ અનુભવીએ ત્યારે cortisol પેદા થતું હોય છે. કોઈ જોખમ ઊભું થવાની સંભાવના ઊભી થાય ત્યારે બ્રેન Cortisol and adrenaline સ્ત્રાવ કરતું હોય છે જે લોહીમાં ભળીને આવનારા જોખમ સામે લડવા તૈયાર કરી દે. આપણા હાથ અને પગ તરફ લોહી ધસી જતું હોય છે જેથી આપણે લડી શકીએ અથવા ભાગી શકીએ. દા.ત. રાતનો સમય હોય ને કોઈ ભયાનક ચહેરાવાળો માનવી આગળ આવી જાય તો આપણે જોખમ અનુભવીએ ત્યારે  Cortisol and adrenaline તમને લડવાની કે ભાગવાની ઍકસ્ટ્રા શક્તિ આપે.

પણ અહીં એક પ્રૉબ્લેમ છે, ભયાનક ચહેરો ધરાવતો માનવી આગળ આવી જાય અને તમે મહત્વની મિટિંગ છે અને ઑફિસ જવામાં લેટ પડ્યા હોવ તે બે વચ્ચેનો તફાવત શરીર સમજતું નથી. A stressor is a stressor. ઑફિસ જવામાં લેટ પડો ત્યારે પણ સ્ટ્રેસ પેદા થવાનો અને Cortisol and adrenaline સ્ત્રાવ બ્રેન કરવાનું જ છે. અહિ તો તમે લડી પણ ના શકો અને ભાગી પણ ના શકો. આ હૉર્મોન્સ અનહૅપી કેમિકલ તરીકે ભલે ઓળખીએ પણ છે તો કામના. પ્રૉબ્લેમ એ થાય કે આના કારણે ભાગવા અથવા લડવા વધારાની તાકાત જોઈએ તે માટે શરીરને લાગે એક્સ્ટ્રા કેલરીની જરૂર છે તો પછી શું કરવાનું, ખાઓ વધારે. આજે અકુદરતી લાઈફસ્ટાઈલ જીવતો માનવી સતત સ્ટ્રેસમાં જ રહેતો હોય છે. ખોરાકની તીવ્ર ભૂખ અને ઇમોશનલ ઇટિંગ્ એ મોટી સમસ્યા છે.

તો શું કરીશું? એક તો નક્કી કરીએ કે સ્ટ્રેસ ભોગવવો નથી. નથી ભોગવવો તો શોચો ઑફિસે લેટ પડાશે તો કોઈ મારી નાખવાનું છે? ના તો પછી એના માટે શક્ય વધુમાં વધુ શુ કરી શકાય? ઑફિસમાં એક ફોન કરી લેવાય કે આજે જરા મોડું થયું છે. આ તો દાખલો આપું છું રોજ ઑફિસે મોડા જતા નહીં. બૉસ કાઢી મૂકશે. બૉસને ફોન કરી બે ઊંડા શ્વાસ લો. બીજો દાખલો આપું કોઈ પાર્ટી કે લગ્નમાં જવાનું હોય કે ફિલમ જોવા જવાનું હોય ત્યારે આપણે તૈયાર થઈને બહાર ઊભા રાહ જોતા હોઈએ પણ શ્રીમતી અંદર શું કરતાં હોય સમજ પડે નહી. ત્યારે સ્ટ્રેસ ઊભો થઈ જતો હોય છે. પાર્ટી પતી જાય પછી પહોચવાનું છે? કન્યાવિદાય થઈ જશે પછી પહોંચવાના, ફિલમ અડધી પતી જવાની એમ બુમો પાડતા હોઈએ છીએ. મને પોતાને આવો સ્ટ્રેસ થતો હોય છે. હાહાહાહાહાહા . આનો કોઈ ઉપાય નથી. જે વસ્તુ આપણાં હાથમાં ના હોય તેની ફિકર છોડી દેવી સારી..