Category Archives: Evolutionary Psycology

આપત્તિ ત્રાટકે ત્યારે ? Hard Truths About Human Nature.

 આપત્તિ ત્રાટકે ત્યારે??

જ્યારે પણ કોઈ આપત્તિ આવે છે, કોઈ મહા હોનારત થાય, કોઈ વિનાશ સર્જાય, ભલે તે માનવ સર્જિત હોય વર્લ્ડ ટ્રેડ સેન્ટર હોનારત, કે કુદરત સર્જિત હોય જાપાન સુનામી કે હૈતી ભૂકંપ હોય, તેના સમાચાર જોવા લોકો આખો દિવસ ટીવી પર ન્યૂઝ ચેનલ્સ પર ગુંદરની ચીટકી જતા હોય છે. શું આને sadistic voyeurism કહી શકાય ? આપણે આખો દિવસ હોનારતની ચર્ચા કર્યા કરતા હોઈએ છીએ. બ્રેન રિસર્ચ કહે છે કે જ્યારે આપણે બીજા લોકોને આવી હોનારત, મુશ્કેલીઓમાં ફસાયેલા જોઈએ છીએ ત્યારે આવા બનાવો આપણાં બ્રેનમાં જે કરુણા ઉપજાવે તેવા ભાગ છે તેને ઉત્તેજિત કરે છે.

જો આપણે પોતે આવા ભૂકંપ કે બીજી કોઈ પણ જાતની હોનારત કે ઇમર્જન્સીમાં ફસાઈ જઈએ તો  આપણાં બ્રેનનો જે પ્રાથમિક ભાગ છે લિમ્બિક સિસ્ટમ તેની અંદર રહેલા નાનો વિભાગ amygdala સક્રિય થઈ જાય છે. જ્યારે ધરતી કંપ થાય અને ધારા ધ્રુજવા લાગે તો  amygdala  તરત વિચારવાનું અને ત્વરિત નિર્ણય લેવાનું શરુ કરી છે. કે ઇમર્જન્સીમાં બચવા માટે શું કરવું? ભાગવું કે સામનો કરવો કે બીજું જે કઈ આપણાં અનુભવ આધારિત અને જીનમાં વસેલી માહિતી મુજબ આપણે કરતા હોઈએ છીએ.

હવે આવી હોનારત આપણે જ્યારે પડદા ઉપર જોઈએ છીએ, જે સમાચાર રૂપે પણ હોઈ શકે કે કોઈ ફિલ્મ બનાવેલી હોય જેવી કે ટાઈટેનિક, ત્યારે આપણે આપણને ઇમર્જન્સી વખતે કરવાના ઉપાયોની જે ક્ષમતા વારસાગત મળેલી છે તે મેકનિઝમની કૉપિ મનોમન કરીને રસ મેળવતાં હોઈએ છીએ. ભલે સોફા પર બેઠાં બેઠાં ટીવી પર જોતા હોઈએ, પણ આપણે એકજાતની માનસિક કસરત કરતા હોઈએ છે તે પણ અચેતનરૂપે. અને આવી ટાઈટેનિક  જેવી  ફિલ્મો  બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવતી હોય છે. ટાઈટેનિક ફિલ્મ કરુણ હતી. મોટાભાગના મુસાફરો મૃત્યુ પામ્યા હતા. છતાં વારંવાર લોકોએ જોઈ હતી. અમે પણ થીઅટરમાં ચાર વાર જોઈ હતી, અને જ્યારે પણ ટીવી પર આવતી ત્યારે જોતા હતા. આવી તો ઘણી બધી ફિલ્મો આવતી હોય છે. પણ ટાઈટેનિકની સફળતાનું રાજ હતું તેના મુખ્ય અભિનેતાએ કરેલું સાહસ, ધૈર્યપૂર્વક કરેલી બચવા માટેની લડત, અને દિલોજાનથી કરેલો પ્રેમ.

આવા ડિઝાસ્ટર મૂવિ જોઇને શીખવાનો હેતુ એ હોય છે કે આપણે પોતે આવા ડિઝાસ્ટરમાં સપડાઈ જઈશું તો શું કરી શકીશું ? શું મૂવિનો હીરો સાચા પગલા લે છે બચવાના ? કે સાચા નિર્ણય લે છે, કે બચવામાં સફળ થાય છે કે અસફળ ? તે આપણું પોતાનું પ્રતિનિધિત્વ કરતો હોય છે. અને બચવાનું અશક્ય લાગતું હોય છતાં બચવામાં સફળ થાય તો આપણો પોતાનો આત્મવિશ્વાસ વધી જતો હોય છે અંદરખાનેથી, કે આવી મુશ્કેલી આવશે તો આપણી ક્ષમતા કામ લાગશે.

ફિલ્મ તો ઠીક પણ આવી સત્ય હોનારત જ્યારે આપણે ટીવી ઉપર લાઇવ જોઈએ છે તે પણ આપણને શીખવે છે કે આવી હોનારત વખતે શું કરવું? જો આપણે હરિકેન આવે ત્યારના સમાચાર જોયા હોય, લોકોને ભાગતા અને અગાઉથી આવી જ રીતે બીજા બનાવો જોઇને માનસિક રીતે શીખેલા લોકો એમાંથી બચી નીકળતા જોઇને, ફરી જ્યારે આપણાં ભાગે આવું આવે તો આપણે એમાંથી જલદી ત્વરાથી છટકવા માટે સફળ થતા હોઈએ છીએ. કારણ આપણે અગાઉ જોયું હોય છે કે લોકો વિચાર કરવા રહેતા નથી અને ભાગતા હોય તે સફળ થતા હોય છે, તો આપણે પણ એવું જ કરતા હોઈએ છીએ.

આપણને આવા બનાવોમાં ફસાયેલા, પીડિત વ્યક્તિઓ જોઇને સહાનૂભુતિ પેદા થાય છે, ઉદાસ થઈ જતા હોઈએ છીએ, દુઃખી થતા હોઈએ છીએ. રિસર્ચ એવું કહે છે કે બીજા પીડિત લોકોને જોઇને બ્રેન એવું જ રિએક્ટ કરતું હોય છે જાણે આપણે પોતે પીડિત છીએ. બ્રેનના amygdala સાથે કૉર્ટેક્સમાં બીજા લોકોની વર્તણૂકનું અનૅલિસિસ થતું હોય છે( theory of mind ). આવા દુઃખદ બનાવો આપણાં પોતાના દુઃખદ અનુભવોને ઉજાગર કરતા હોય છે,  ”autobiographical memory .”  આપણે આવી કોઈ ભયજનક સ્થિતિમાં ભૂતકાળમાં સપડાયા હોય તેની યાદ આવી જાય છે, જેનાથી જે પીડિત લોકોને આપણે જોઈ રહ્યા હોઈએ છીએ તેઓ ઉપર શું વીતતી હશે તેવું વિચારતા હોઈએ છીએ. આ બધું કૉન્શ્યસ્લી ના થતું હોય. પણ આપણે દુઃખી લોકોના દુઃખમાં સહભાગી બની જતા હોઈએ છીએ. અને વારંવાર ગુંદરની જેમ ચોટેલા રહીને આવા ન્યૂઝ જોતા રહેતા હોઈએ છીએ.

આવા ડિઝાસ્ટર પછી થોડા દિવસ સુધી ન્યૂઝ ચેનલ્સ, મીડિયા પીડિતો વિષે બતાવ્યા કરતા હોય છે, પણ પછી એમનું ધ્યાન રોજીંદી ઘટનાઓ અને રાજકારણ તરફ વળી જતું હોય છે, જે સ્વાભાવિક છે. અને આપણે જોનારા પણ સહાનુભૂતિની ન્યુઅરલ circuitry કાયમ જાળવી શકતા નથી. એટલે જે પણ મદદ કરવી હોય તે તરત કરી દેવી સારી પછી મદદ કરવાનો ઉત્સાહ મોળો પડી જતો હોય છે. ટ્વીટર અને ફેસબુક જેવા  સોશિઅલ મીડિયા સપૉર્ટ માટે સારું કામ આપતા હોય છે.

ઘણીવાર કોઈ વ્યક્તિ ક્રાઇમનો ભોગ બને કે એવા કોઈ અકસ્માતનો ભોગ બને ત્યારે જો બહુ મોટું ટોળું ભેગું થઈ જાય તો લગભગ બધા તમાશો જોનારા પણ બની જતા હોય છે. જલદી કોઈ મદદ કરવા આગળ આવે નહિ. જેમ ટોળું મોટું તેમ મદદની શક્યતા ઓછી.  એવું વિચારવામાં આવતું હોય છે કે હું શા માટે મદદ કરવા આગળ આવું કોઈ બીજો કરશે. મદદ કરવાની જવાબદારી ફેલાઈ જતી હોય છે. બીજો કરશે ત્રીજો કરશે. કોઈ એકલ દોકલ જોનારાઓ હશે તો ભોગ બનનારને મદદ કરવા તરત દોટ મૂકશે. જવાબદારી તેલના પડ જેવી હોય છે. ઑઇલ જેટલું વધારે જગ્યામાં ફેલાય તેમ તેનું પડ પાતળું થતું જાય તેમ જવાબદારી પણ જેમ મોટા સમૂહના માથે આવે તેમ તેને પૂર્ણ કરવાની ભાવના ઓછી થતી જતી હોય છે, પ્રયત્ન ઓછો થતો જતો હોય છે. આને ‘bystander’ ઇફેક્ટ કહેવામાં આવે છે. ગુજરાતીમાં તમાશો જોનારા કહી શકાય. છતાં પારકાના દુઃખે દુઃખી થવાનું પ્રોગ્રામિંગ આપણાં બ્રેનમાં થયેલું હોય છે તે પણ હકીકત છે.

બર્મામાં સાઇક્લોન આવ્યું ત્યારે ૧૦૦,૦૦૦ લોકો એનો ભોગ બનેલા, ૨૦૦૪માં ઈન્ડોનેશિયાના ભૂકંપ અને સુનામીમાં ૨૦૦,૦૦૦ લોકોને અસર થયેલી, આવી હોનારતમાંથી મૃત્યુને છેતરીને બચી ગયેલા લોકો પાછળથી acute stress disorder અને posttraumatic stress disorder થી પીડાતા હોય છે. ૨૬ જાન્યુઆરીએ આવેલા કચ્છના ભૂકંપે મહિનાઓ સુધી આપણને કળ વળી નહોતી. એ તબાહીના સમાચાર જોઈ જોઇને મારા શ્રીમતીજીને દિવસો સુધી હાઈ બ્લડપ્રેશરની ફરિયાદ રહેલી, અને આખો દિવસ તણાવ અને ઉદાસીમાં જીવવા લાગેલા. મને લાગ્યું કે હવે આ ભૂકંપની તબાહીના સમાચાર અને વિડિઓ ક્લિપ આને જોવા દેવાય નહિ.

આવી તબાહી માનવ સર્જિત પણ હોય અને કુદરત સર્જિત પણ હોઈ શકે. હિરોશીમા અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર તબાહી માનવ સર્જિત હતી. સુનામી, ભૂકંપ, સાઇક્લોન, હરિકેન, ટૉર્નેડો વગેરે દ્વારા થતી તબાહી કુદરતી હોય છે. આમ કુદરત પણ શેતાન બનીને ત્રાટકતી હોય છે તેમ માનવમાં પણ શેતાન પ્રવેશી જતો હોય છે. આવ શેતાની તત્વો શું કામ અસ્તિત્વ ધરાવે છે ? જો ભગવાન હોય તો તે આવા દુઃખના પહાડ શું કામ મોકલતો હશે ? મને શું કામ ભોગ બનાવ્યો કે મને શું કામ ભોગ નાં બનાવ્યો ? એવા પ્રશ્નો મનોવૈજ્ઞાનિકો, મેન્ટલ હેલ્થ વર્કર અને રેડ ક્રોસ કાઉન્સેલરને પીડિત  દ્વારા પુછાતા હોય છે.

મોટાભાગે લોકો શેતાનનું અસ્તિત્વ સ્વીકારવા તૈયાર હોતા નથી. આવી શેતાનિક તબાહીઓની  વાસ્તવિકતા સ્વીકારવી અઘરી હોય છે. માટે હિંદુ અને બૌદ્ધ ધર્મમાં  માયાનું સ્વરૂપ કહીને આંખો મીંચી લેવામાં આવે છે. માયા ગણો તો પણ આ માયા દુખદાઈ હોય છે તે હકીકત છે. પીડિત વ્યક્તિઓ પોતાને અસહાય, શક્તિ વિહોણા અનુભવ કરતા હોય છે. પોતાના અસ્તિત્વ વિષે શંકા પેદા થઈ જતી હોય છે. જીવનનો અર્થ શું છે ? ફક્ત એક શ્વાસ દુર મોત રાહ જોઈ રહ્યું છે તે હકીકત માનવા મન પ્રેરાય છે. આવા બનાવો depression, rage, nihilism, panic, chaos, psychosis જેવી ખતરનાક માનસિક બીમારીઓ મૂકતા જતા હોય છે.

ઘણીવાર એવા આક્ષેપો પણ કરાતા હોય છે કે પાપ વધી ગયું છે એટલે ભગવાન સજા કરે છે. કચ્છમાં એક સાંકડી શેરીમાં નાના ભુલકાઓની પરેડ નીકળી હતી તે તમામ પ્રભુને પ્યારાં થઈ ગયા હતા. શું પાપ આ બાળકોએ કર્યા હશે તે તો ભગવાન જ જાણે. પીડિતોને બ્લેમ કરવા તે બીમાર માનસિકતા છે.

આ પૃથ્વી ઉપર અવારનવાર ભૂકંપ, સુનામી, પ્લેગ જેવી મહામારી, જ્વાળામુખી, ટૉર્નેડો, હરિકેન, કોઈ meteor મીટિઅરનું ત્રાટકવું  સામાન્ય છે. આપણાં પૂર્વજો સિંહ, વાઘ, વરુ જેવા શિકારી પ્રાણીઓના જડબા વચ્ચે ચવાઈ જતા હશે, અથવા હરીફ આદિવાસી ગેંગ સાથે લડાઈમાં માર્યા જતા હશે. આજે પણ ધાર્મિક અને રાજકીય ઝનૂની લોકો એરપ્લેન હાઇજૅક કરતા હોય છે. ક્યાંક અણુ રિઍક્ટર એનું જીવલેણ રેડિએશન ફેલાવતું હોય છે. કોઈ કાર, બસ કે ટ્રેન  ઍક્સિડન્ટમાં માર્યા જતા હોય છે. કોઈ ફૅસિસ્ટ સરકાર એના નાગરિકોને મોતના હવાલે કરતી હોય છે. આ બધી માનવજીવનની  કડવી વાસ્તવિકતા છે. છતાં લોકો હિંમતથી જીવતા હોય છે.

હિંમત શબ્દ બહાદુરી સાથે જોડાયેલો છે. Courage શબ્દનું મૂળ ફ્રેંચ ભાષામાં cour  અથવા coeur  છે. એનો અર્થ હૃદય થાય છે. એટલે હિંમત હ્રદયથી થવી જોઈએ, હૃદય કે જે આખા શરીરને લોહી પહોચાડે છે, અને એના લીધે જીવન ટકી રહ્યું છે. હિંમત એક લાગણી છે, એક ભાવના છે. લાગણીઓ એટલે પ્રેમ, ગુસ્સો, રૉમૅન્સ, અને ક્યારેક પ્રચંડ ગુસ્સો. પ્રેમ અને જાતીય આવેગ જાત જાતના હિંમતભર્યા પગલા લેવડાવે છે. માતાનો બાળક પ્રત્યેનો પ્રેમ એનો ખુદનો જીવ જોખમમાં મૂકે છે એના બાળકને બચાવવા માટે.

પ્રેમની દિવ્યતા અને કરુણા મધર થેરેસાને નિઃસ્વાર્થ સેવાનાં કાર્યમાં જોડાઈ જવાની હિંમત અર્પે છે. પ્રેમની જેમ ગુસ્સો અને પ્રચંડ ગુસ્સો પણ હિંમત માટે બળતણ બની જાય છે. ઘોડા ઉપર સવાર મહારાણા પ્રતાપનો પ્રચંડ ક્રોધ રાજા માનસિંહની હાથી ઉપર રહેલી અંબાડીને ભાલાથી વીંધી નાખે છે. માનસિંહ નીચા નમીને બચી ગયા બાકી ઇતિહાસ બની ગયા હોત.

માનવ જીવનની બેસિક પ્રવૃત્તિમાં કાયમ શૌર્યની જરૂર પડતી જ હોય છે. લગ્ન કરીને પારકે ઘેર જવું સ્ત્રીઓ માટે ધૈર્ય અને હિંમતનું કામ છે. માતાપિતાથી દુર થઈને સ્વતંત્ર જીવન શરુ કરવું તે પણ કરિજ (courage) માંગી લે છે. Abusive, traumatic or neglected બચપણ વિતાવી પ્રગતિ કરનાર બાળકો પાસે tremendous courage હોય છે. એટલે હિંમત, શૌર્ય, ધૈર્ય માનવને કુદરતી અને માનવ સર્જિત હોનારતમાંથી બહાર આવવાનું બળ આપે છે. ભગવાન દયાળુ છે, મુશ્કેલીઓમાંથી બચાવે છે તેવી ધારણા આવી હોનારત થાય ત્યારે મુશ્કેલીમાં આવી પડે છે. Religious beliefs are deeply irrational.    

Piedmont, Alabama સ્થિત એક ચર્ચમાં લોકો દયાળુ પ્રભુને પ્રાર્થના કરી રહ્યા હતા અને ટૉર્નેડો ત્રાટક્યો અને લગભગ તમામ માર્યા ગયા હતા. ભારતમાં તો તરત કર્મનો નિયમ આગળ ધરી દેવાય તેવી સરસ સવલત છે. હૈતિયન લોકો હજુ નરકમાં છે. હજુ કળ વળી નથી. એક ધાર્મિક વક્તા  Pat Robertson કહે છે કે હૈતીના લોકોને ભૂકંપગ્રસ્ત બનાવી  ભગવાને સજા કરી છે. કારણ કે હૈતીના  લોકો મૂળ આફ્રિકન છે, આમ તો બધા ક્રિસ્ચન છે પણ હજુ મૂળ વેસ્ટ આફ્રિકન Voodoo ધર્મનાં રીતી રિવાજોનું પરમ્પરાગત પાલન કરતા હોય છે. એટલે હવે એની સજા ભોગવો.

એક માન્યતા એવી પણ છે કે હૈતી ફ્રેંચ કૉલનિ હતું. ફ્રેંચ લોકો હૈતી છોડીને જતા રહે માટે હૈતીના લોકોએ શેતાન સાથે સાઠગાંઠ કરેલી. એટલે શેતાને કહેલું કે ફ્રેંચ લોકો જતા રહે તેવું કરીશ ખરો પણ પછી ભૂકંપ પણ આપીશ. હવે voodoo પ્રેકટીશ વેસ્ટ ઇન્ડીઝ, બ્રાઝીલ, હૈતી, અને યુનાઈટેડ સ્ટેટ્સનાં ઘણા બધા ભાગોમાં થાય છે. ક્રિસ્ચન હોલી સ્પિરિટમાં માનતા હોય તેવા જ કોઈ સ્પિરિટમાં આ લોકો પણ માનતા હોય છે.

છેવટે માણસની અંદર રહેલું સારાપણું બહાર આવી જતું હોય છે. દયા, ધીરજ, હિંમત, કરુણા, નમ્રતા, મોભો બધું એક સાથે કામ કરતું હોય છે અને આવી હોનારતમાં દુનિયાભરના લોકો મદદ માટે આગળ આવતા હોય છે.

 

 

 

માનવ વંશની એક જ જાત, માનવ.

The six human races
Image via Wikipedia

માનવ વંશની એક જ જાત, માનવ.

            માનવ વંશની કોઈ અલગઅલગ જ્ઞાતિ  નથી. માનવ વંશની એક જ કોમ છે, તે છે માનવ. નાત, જાત, કોમ બધું સામાજિક છે. ભારતમાં જ્ઞાતિ પ્રથા ચુસ્ત છે, તેટલી બીજા દેશોમાં ખાસ નથી. આખી દુનિયાનો માનવ વંશ એક જ છે. ભલે બધા નાક નકશે જુદાજુદા દેખાય પણ બાયોલોજીકલી જીનેટીકલી આખી માનવ જાત એક જ છે. Species  એટલે એક જ સરખાં લક્ષણો અને ગુણધર્મ ધરાવતા સજીવ. જે એક બીજા સાથે સંસર્ગ કરીને એમના જેવી જ જાતિને જન્મ આપે. માનવ આખી દુનિયામાં ગમે ત્યાં જઈને બીજા માનવ સાથે સંસર્ગ કરીને બીજો માનવ પેદા કરી શકે છે.  એમ ઘેટા અને માનવ જુદી જુદી જાત કહેવાય. હવે માનવ ઘેંટીને પ્રેગ્નન્ટ બનાવવા પ્રયત્ન કરે તો શક્ય નથી. એમ ઘોડા કે ગધેડા અલગ species  કહેવાય. હવે એમના રંગ રૂપ અને સાઇઝ પ્રમાણે આપણે અરબી ઘોડા કે કાઠિયાવાડી ઘોડા અલગ તારવીએ પણ એમાં અરબી ઘોડો એવું કહે કે હું જુદી જાત છું તો ? બધા ઘોડા આખરે ઘોડા જ છે. છતાં ઘોડા અને ગધેડા જીનેટીકલી એટલાં બધા સરખાં છે કે એકબીજા સાથે સંસર્ગ કરીને ખચ્ચર પેદા કરી શકાય છે.
           માનવ અને ચીમ્પ કે બોનોબો આવી રીતે જીનેટીકલી ખૂબ સરખાં છે. પણ નૈતિક રીતે યોગ્ય ગણાતું નહિ હોય જેથી કોઈ વૈજ્ઞાનીકે ખાનગીમાં બંને વચ્ચે લેબમાં ટેસ્ટ ટ્યૂબ દ્વારા નવી જાતી પેદા કરવાનો પ્રયત્ન કર્યો પણ હોઈ શકે. પણ આજના આધુનિક વિજ્ઞાનને એની કોઈ ખબર છે નહિ. એટલે  જ્યાં સુધી માનવ જાતને સંબંધ છે ત્યાં સુધી ” There is only one species, the human species, only one race-human race.”
    છતાં નોર્વે, નાઈજીરિયા, જાપાન, ભારત કે રશિયાના લોકો જુદા જુદા દેખાય છે. અને રેસિઝમ પણ દુનિયામાં ખતમ થયું નથી. કાયદેસર ભલે રેસિઝમ ખતમ ગણાયું હોય, પણ માનસિક સ્તરે રેસિઝમ હજુ ચાલુ છે. ભારતમાં જ્ઞાતિવાદનાં મૂળિયા પાંચ હજાર કરતા વધુ વર્ષોથી જામેલા છે. બીજા કોઈ દેશમાં એની જાળ આટલી મજબૂત નહિ હોય.
   બાયોલોજીકલ કહીએ તો કોઈ races છે નહિ. પણ સામાજિક સ્તરે વિચારીએ તો એનું અસ્તિત્વ છે. શારીરક રીતે જોઈએ તો પણ માનવ સમૂહ જુદા જુદા ભલે પડી જતા હોય પણ તે આખરે સામાજિક વર્ગીકરણ છે. જેવી રીતે કે આપણે કોઈને રંગ ઉપરથી જુદા પાડીએ કે મોટા કાન અને ટૂંકા પગ, કે સાવ નાના બુચિયા નાક, કે નાના કાન અને મોટા પગવાળાં સમૂહ જુદા જુદા પાડી શકીએ પણ જીનેટીકલી આપણે સહુ સમાન છીએ. અને આવા જુદા જુદા શારીરિક લક્ષણો પેદા થવાનું કારણ ભૌગોલિક છે, વાતાવાવરણ છે અને જિન્સમાં થતા સામાન્ય ફેરફાર છે, મ્યુટેશન છે.
  માનવ જાત પેદા થઈ આફ્રિકામાં અને પહેલો સમૂહ યુરેશિયા જવા રવાના થતા સુધી એક લાખ વર્ષ સુધી તો ત્યાં ઇવોલ્વ થતી રહી. એટલે એવું કહેવાય કે આપણે ઇન્ડિયન આફ્રિકન છીએ કે અમેરિકન આફ્રિકન છીએ, કે જાપાનીઝ આફ્રિકન છીએ. એટલે મોટાભાગના જીનેટીકલી પરિવર્તન આફ્રિકામાં થયા છે. આપણે માટે તો ઘણા ઊંચા મસાઈ અને ઠીંગણાં પિગ્મી બંને અશ્વેત છે.  Humans are quite homogeneous genetically when compared to large territorial mammals like wolves.
         નોર્વે, નાઈજીરિયા અને જાપાનીઝ ખૂબ જુદા જુદા દેખાય છે. જાણે ત્રણ જુદી જુદી જાતી. પણ એનું મુખ્ય કારણ ત્રણે દેશો એકબીજાથી ખૂબ દૂર છે. અને સરખામણીએ ભારત અંદાજે આ ત્રણે વચ્ચે આવેલો છે. ૨૦૦ વર્ષ પહેલા આખી પૃથ્વી ઉપર જેટલી જનસંખ્યા નહિ હોય તેના કરતા વધુ આજે એક અબજ જનસંખ્યા ખાલી ભારત ધરાવે છે. એટલે જુઓ ભારતમાં ખૂબ વેરાયટી જોવા મળશે. પૂર્વના એશીયન જેવા કાળા સીધા વાળ ભારતમાં જોવા મળશે, આફ્રિકન જેવી અશ્વેત સ્કીન જોવા મળશે, યુરોપિયન જેવા ચહેરાના ફીચર જોવા મળશે. જેમ જેમ પ્રદેશો વચ્ચે અંતર વધતું જશે તેમ તેમ ફેરફાર વધતા જવાના.
   ઋત્વિક રોશન અને ઐશ્વર્યા રાય યુરોપિયન ફેસ કટ ધરાવે છે, રજનીકાંત રંગે ડાર્ક સ્કીન ભલે ધરાવે પણ એનું નાક આફ્રિકન નથી. માલાસિંહા જાપાનીઝ ઢીંગલી જેવા દેખાતા. દક્ષિણ ભારતીયો કરતા કાશ્મીરી સાવ અલગ દેખાતા હોય છે. અને જેમ પૂર્વ ભારત તરફ ખસતા જાવ તેમ નાક નાના થતા જતા હોય છે. પશ્ચિમોત્તર ભારતમાં નાક લાંબા થતા જતા હોય છે. ભારતમાં તમને દુનિયાની કોઈપણ જાતનું મિશ્રણ જોવા મળશે.
     જર્મન ફીજીશીયન Blumenbach ૧૭૭૬માં દુનિયાના જુદા જુદા ભાગમાં વસેલા લોકોની ખોપરીઓનો અભ્યાસ કરતો હતો. યુરોપિયન માટે એણે પહેલીવાર Caucasian શબ્દ વાપરેલો, તે પ્રદેશની કોઈ સ્ત્રીની ખોપરીનો અભ્યાસ કરતા તેને તે સૌથી વધુ સુંદર લાગી હતી. રશિયાની દક્ષિણે જ્યોર્જીયામાં Caucasus ગિરિમાળા આવેલી છે. હવે આપણે જાણીએ છીએ કે કોકેશિયન શબ્દ શ્વેત લોકો માટે વાપરીએ છીએ, પણ રશિયન લોકો માટે તે અશ્વેત છે. અમેરિકામાં વળી બે જ ભાગ છે, શ્વેત અને અશ્વેત. કોઈ ભારતીય આપણને ગમે તેટલો ગોરો લાગતો હોય, પણ અહીંની પોલીસ ટીકીટ આપે ત્યારે કલરના ખાનામાં બ્લેક જ લખવાનો. અહીં શ્વેત અને અશ્વેતની વચ્ચેનો રંગ ધરાવનારા લોકો માટે ઘઉં વર્ણ જેવો કોઈ રંગ નથી. ભારતમાં રંગનું વર્ણન કરતું કોઈ ખાનું હોતું નથી.
       ન્યુયોર્ક શહેર બહુ પચરંગી શહેર છે, હું ઘણીવાર જઈ આવ્યો છું. અહીંના સબવેમાં(ભૂગર્ભ ટ્રેઇન) મુસાફરી કરતા મેં માર્ક કર્યું છે કે અહીં દુનિયાભરના લોકોનું મિશ્રણ જોવા મળે છે.  સ્કીન કલર,ચહેરાના આકાર, વાળાના કલર અને એનું બંધારણ જોઈએ તો Caucasoid , Mongoloid , Negroid એમ ત્રણ જાતના લોકો હોય છે. જોકે આ વર્ગીકરણ અવૈજ્ઞાનિક છે તેવું હાલના સોશિયોકલ્ચર અને બાયોલોજીકલ એન્થ્રોપોલોજીસ્ટ, ઈવોલ્યુશનરી બાયોલોજીસ્ટ માનતા હોય છે. સ્કીન કલર, વાળાના કલર તથા બંધારણ, આંખોનો કલર, નાકની લંબાઈ પહોળાઈ, પાતળા કે જાડા હોઠ વગેરે લક્ષ્યમાં લઈને જુઓ તો ન્યુયોર્કના સબવેમાં તમામ પ્રકારનું કોમ્બીનેશન જોવા મળશે. કોઈના વાળ કાળા સીધા જોવા મળશે સાથે ચહેરો શ્વેત એની આંખો બ્લ્યુ અને નાક તીક્ષ્ણ લાંબું હશે. સૌથી વધુ વિવિધતા મેક્સિકન અને દક્ષિણ અમેરિકન  દેશોના સ્પેનીશ લોકોમાં જોવા મળતી હોય છે. અહીંના સ્પેનીશ ભાષા બોલતા લોકો મૂળ યુરોપિયન સ્પેનીશ નહિ, બલ્કે મૂળ સ્થાનિક અમેરિકન દેશી સાથેનું એમનું મિશ્રણ છે. જેટલી વિવિધતા ભારતીય લોકોમાં જોવા મળે છે તેટલી સ્પેનીશ લોકોમાં જોવા મળે છે. ટોટલી શ્વેત એટલે એકદમ ગોરી ચામડી, સોનેરી સીધા વાળ, બ્લ્યુ આંખો, પાતળા લાંબા નાક, અને સાવ પાતળા હોઠ. ટોટલી અશ્વેત એટલે કાળી અથવા બ્રાઉન સ્કીન, કાળા કર્લી વાળ, કાળી અથવા ડાર્ક બ્રાઉન આંખો, મોટા પહોળા નાક, અને જાડા મોટા હોઠ. આ બધાનું મિશ્રણ તમને અહીં સબવેમાં જોવા મળશે. જેવું કે tan skin, લાઈટ બ્રાઉન આંખો, બ્રાઉન વાંકડિયા વાળ,બહુ મોટા કે નાના નહિ તેવા નાક અને હોઠ.
      ઘણા લોકો શ્વેત અશ્વેતનું મિશ્રણ હોય છે, અડધા શ્વેત અને અડધા અશ્વેત ફીચર્સ ધરાવતા હોય,પણ અમેરિકામાં આ બધા અશ્વેત જ ગણાય. બ્રાઝીલમાં તેવું નથી. આવા લોકો માટે બ્રાઝીલમાં એમના રંગરૂપ પ્રમાણે જુદા જુદા નામ આપતા હોય છે. કોઈની સ્કીન ગોરી હોય, સોનેરી વાંકડિયા વાળ હોય, પહોળું નાક હોય, જાડા હોઠ હોય તેને બ્રાઝીલમાં sarará,કહેતા હોય છે. આ શબ્દમાં a ની ઉપર જે ચિન્હ છે તેનો અલગ ઉચ્ચાર હોય છે, આપણાં કાના માતર જેવો. હવે કોઈનો સ્કીન કલર કાળો હોય, કાળા સીધા વાળ હોય, આંખો બ્રાઉન હોય, નાક સાંકડા હોય અને હોઠ પાતળા હોય તો એને બ્રાઝીલમાં cabo verde કહેતા હોય છે.
   દુનિયા જેમ જેમ આધુનિક જમાનો આગળ વધતો જાય છે, લોકો એકબીજા દેશોમાં જતા થઈ ગયા છે, દુનિયા નાની થતી જાય છે, સંસ્કૃતિઓના આદાનપ્રદાન વધતા જાય છે તેમ તેમ આવું કોમ્બીનેશન પણ વધતું જવાનું. તેમ તેમ જ્ઞાતિ આધારિત વર્ગીકરણ ઓછું થતું જવાનું છે.
    ચાલો ગણિત અને તર્કની દ્રષ્ટીએ વિચારીએ કે માનવજાત એક જ છે, કોઈ અલગ અલગ જાતી નથી. દરેક માણસને, હું  કે તમે દરેકને બાયોલોજીકલ એક માતા અને એક પિતા એમ બે પેરેન્ટ્સ હોય છે, પિતાના માતા પિતા અને માતાના માતા પિતા એમ ચાર ગ્રાન્ડ પેરેન્ટ્સ, આઠ ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય છે. આવી રીતે આગળ વધતા જઈએ તો ૧૦ જનરેશનનાં ગણીએ તો ૧૦૨૪ પૂર્વજો થાય, આમતો પછી હજારો અને કિલોમાં એન્સેસ્ટર ગણી શકાય. ૨૦ જનરેશન ગણીએ તો ૧,૦૪૮,૫૭૬ સાથે મીલીયંસ અને ૪૦ જનરેશન સાથે ૧,૦૯૯,૫૧૧,૬૨૭,૭૭૬ અને ટ્રીલીયન પૂર્વજો થઈ જાય, આમ આગળ ને આગળ ગણતરી વધારતા જઈએ તો કોઈ પાર રહે નહિ. હવે મૉર્ડન મેડીસીન આવ્યા પહેલા આયુષ્ય બહુ ઓછું હતું. હાલ ૮૦ કે ૯૦ વર્ષની એક પેઢી ગણીએ તેવું હતું નહિ. અને માનવ જાતની ઉત્પત્તિ થયે ૨૦૦,૦૦૦ વર્ષ થયા. છોડો બધી ગણતરી. આટલાં બધા માનવો પહેલા હતા નહિ. બહુ ઓછા માનવો હતા, મતલબ હાલના દરેકનાં  મારા કે તમારા ગ્રેટ-ગ્રેટ-ગ્રેટ-ગ્રેટ-ગ્રેટ- ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ વગેરે વગેરે, અરે આખી દુનિયાના ગ્રેટ- ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ એક જ હતા. ભલે આપણે સહુ જુદાજુદા દેખાઈએ, બાયોલોજીકલ આપણે એકબીજા સાથે અંગત રીતે સંબંધી છીએ.
            એક નવો તર્ક વિચારીએ. હું મારા શરીર ઉપર અને શરીરની અંદર અગણિત અબજો અબજો બેક્ટેરિયા, માઈટ્સ, પરોપજીવી સાથે જીવતો એક સજીવ છું તે હકીકત છે. હવે આજે મારું એક ફેમિલી છે. એનો હું કેન્દ્ર છું. પણ વર્ષો પહેલા આવું નહોતું, હું મારા પિતાશ્રીના કુટુંબનો એક ભાગ હતો. મારા ભાઈઓ અને બહેન સાથે પિતાશ્રીની આસપાસ ફરતા હતા. આમ જીવનચક્રની ગાડી પાછળ કરતા જઈએ તો મારા પિતાશ્રી વળી એમના પિતાશ્રીના કુટુંબના એક ભાગ માત્ર હતા, કેન્દ્ર નહોતા. આમ જીવનચક્રની ગાડી રિવર્સ કરતા જઈએ તો એક દિવસ ત્યાં આવશે કે પહેલો માનવ સમૂહ પેદા થયો હતો. એના કરતા વધુ રિવર્સ કરતા જઈએ તો આપણા પિતરાઈ ચિમ્પાન્ઝીના ફૅમિલીમાં પહોચી જઈશું. પણ આમ રિવર્સ ને રિવર્સ કરતા જ જઈએ તો કરોડો વર્ષ પહેલા પૃથ્વી ઉપર જીવન શરુ થયું ત્યાં પહોચી જવાશે. એક ડગલું(અબજો વર્ષનું) વધારે રિવર્સ જઈશું તો પૃથ્વી પેદા થઈ અને સુરજદાદાના કુટુંબનો ભાગ બની ત્યાં પહોચી જવાશે. જેમ હું અબજો જીવ જંતુઓ, બેક્ટેરિયા સાથે હરતો ફરતો એક સજીવ વ્યક્તિ છું કે તેમ જ આ પૃથ્વી પણ અબજો અબજો જીવ, જંતુ, પ્રાણીઓ,માનવો, વનસ્પતિ સાથે સૂર્યની આસપાસ હરતી ફરતી એક વ્યક્તિ સમજી લો. આ પૃથ્વી માટે, સૌર મંડળ માટે, આ ગેલેક્ષી માટે આપણે કોઈ બેક્ટેરિયાથી વધુ મહત્વ ધરાવીએ છીએ ખરા??
         આ વિશાલ, અનંત, યુનિવર્સ જેમાં અબજો તારા ધરાવતી અબજો ગેલેક્સીઓ છે તેના સંદર્ભમાં ગણીએ તો પૃથ્વી એક જ વ્યક્તિ કે એક જ આત્મા ગણી શકાય કે નહિ???

રંગ બદલે કાચિંડા રંગ બદલે, કોઈ વાર કપડાં પણ. (Hard Truths About Human Nature).

 

 

 

Cover of "Some Like It Hot"
Cover of Some Like It Hot

રંગ બદલે કાચિંડા રંગ બદલે, કોઈ વાર કપડાં પણ. (Hard Truths About Human Nature).

     “Some Like It Hot” નામનું એક મુવી ૧૯૫૯માં આવેલું.  Marilyn Monroe, Tony Curtis, and Jack Lemmon. અભિનીત આ ફિલ્મ અમેરિકન ફિલ્મ ઇન્સ્ટીટ્યુટ દ્વારા “greatest American comedy film of all time” ગણવામાં આવે છે. બે પુરુષ અભિનેતાઓ એમનું જીવન બચાવવા માટે સ્ત્રીના કપડા પહેરીને મહિલાઓ દ્વારા ચલાવાતા મ્યુઝીક બેન્ડમાં જોડાઈ જતા હોય છે.પ્રેમ અને છેતરપીંડી ધરાવતી આ ફિલ્મમાં પુરુષો નિર્દોષ મહિલાનું પાત્ર ભજવે છે. સ્ત્રીના પોષક, સેક્સ અને ગરમાગરમ અભિનેત્રી મેરિલીન મનરોની હાજરી આ ફિલ્મને ખુબ મનોરંજક બનાવે છે. આપણી બોલીવુડની ઘણી બધી મનોરંજક ફિલ્મોમાં પુરુષ અભિનેતાઓ  સ્ત્રીઓના કપડા પહેરી સ્ત્રી તરીકે પાત્ર ભજવીને હાસ્યની છોળો ઉડાડતા જોવા મળે છે. ઘણા બધા અભિનેતાઓ ક્યારેક ને ક્યારેક સ્ત્રીના કપડા પહેરેલા ભારતીય ફિલ્મોમાં જોવા મળેલા જ છે. ગોવિંદા, કમલ હાસન, વગેરેની આવા પાત્રો ભજવેલી ફિલ્મો ખૂબ પ્રખ્યાત થયેલી.
     Transvestism  ટ્રૅન્સ્વેસ્ટિઝમ, Cross-dressing  , Transvestic fetishism , એક રહસ્યમય જીવન, શું માનવજાત સિવાય બીજે અસ્તિત્વ ધરાવે છે ખરું? શું આવી છેતરપીંડી માનવ જીવન સિવાય બીજે કશે જોવા મળે ખરી?

Transvestism એટલે સાદો અર્થ એ થાય કે પુરુષો સ્ત્રીઓના કપડા પહેરે. ક્રોસ ડ્રેસિંગ પ્રેકટીશ પણ કહી શકો. માનસિક રીતે આમાં ઘણા બધા ભાગ પાડી શકાતા હોય છે. ઘણા લોકો પુરુષ દેહમાં સ્ત્રૈણ આત્મા ધરાવતા હોય છે. ઘણા જીનેટીકલી ડિફેક્ટ કારણે પણ આવા હોય છે. આપણે ત્યાં માસીબા કહીને સન્માન કરીએ છીએ તેવા લોકો સ્ત્રીઓના કપડા પહેરીને ફરતા હોય છે.

ફિલ્મોમાં અને ઘણી જગ્યાએ મનોરંજન માટે પુરુષો સ્ત્રીઓના કપડા પહેરી જોનારને હસાવતા હોય છે. એમાં કોઈ માનસિક ક્ષતિ જેવું હોતું નથી. Transvestic fetishism માં સ્ત્રીના કપડા કામોત્તેજક તરીકે પહેરતા હોય છે. સ્ત્રીઓ જે જે વસ્તુઓ વાપરતી હોય તેનો સંગ્રહ પણ કરતા હોય છે. ઘણા આવા પરિવેશમાં જાતે જાતે ફોટા પણ પાડતા હોય છે, અને રહસ્યમય ગુપ્ત કાલ્પનિક જીવન જીવતા હોય છે. જોકે આ બહુ ઊંડો વિષય છે. મનોવૈજ્ઞાનિકો માટે પણ ઘણો માથાના દુખાવા જેવો વિષય છે.

     Augrabies flat lizards, સાઉથ આફ્રિકામાં આવેલા Augrabies Falls National Park થઈને વહેતી ઓરેન્જ નદીના કિનારે આવેલા ખડકોમાં રહેતા આ અપૂર્વ રેપ્ટાઈલ આવી જીવન શૈલી ધરાવતા હોય છે. કુદરતનું આ અદ્ભુત સર્જન નાના જીવ જંતુની  શોધમાં સીધું નીચે માથે સડસડાટ ૧૦૦ મીટર નીચું ઉતરી શકે છે. ખડકોની તિરાડમાં જીવવા માટે ટેવાયેલું આ સર્જન એની પુંછડી પોતાના શરીરે વીંટાળીને ઠંડી અને પ્રીડેટરથી પોતાને બચાવે છે. માદા બે વર્ષે એના ઈંડા ખડકની તિરાડમાં મુકાતી હોય છે.

  આ લિઝાર્ડનો ખોરાક છે black fly. નદીના કિનારે ખાસ જગ્યાએ આ માંખીઓનો બહુ મોટો સમુદાય ઉડતો  રહેતો હોય છે. આ કાચિંડા પોતાનો એરિયા કબજે કરતા હોય છે. બીજા નર કાચિંડાને ખદેડી મૂકી કદમાં મોટો અને બળવાન કાચિંડો પોતાની રીયલ એસ્ટેટનું રક્ષણ કરતો હોય છે. એનાથી એક તો બ્લેક ફ્લાયનો મોટો જથ્થો ખાવા મળે અને માદાઓ સાથે રાસ રમવા મળે. અહી વિપુલ  ખોરાકની સંભાવના એટલે સારો એરિયા, અને શક્તિશાળી નરને મળે સારો એરિયા અને માદાઓ સારો એરિયા પસંદ કરે જ્યાં સારો ખોરાક મળે જે પેલા બાહુબળીયા નરના કબજામાં હોય. આતો સામાન્ય સામાજિક ગોઠવણ થઈ, એમાં નવાઈ જેવું ખાસ નથી. કુદરતનો ક્રમ છે.
          પણ અહી નર કાચિંડો સંપૂર્ણ પુખ્ત બને એના શરીર ઉપર સરસ મજાના પીળા, ઓરેન્જ, લીલા અને જુદાજુદા વાદળી રંગ ઉપસી આવે છે. પુખ્ત નર માદા કરતા ખૂબ મોટો હોય છે. આ રંગ એટલે એક જાતનું Visual communication સમજવું. જેટલો નર પાવરફુલ, મજબુત, આક્રમક અને કદમાં મોટો તેટલા રંગ ખૂબ ભડકીલા અને ખીલેલા સમજવા. એક જાતનો સંદેશો કે જુઓ એક બળવાન નર અહી ઉભો છે, સરસ મજાના વિપુલ ખોરાકના બંદોબસ્ત સાથે. એક જાહેરાત જેવું. કલર ઉપરથી ખબર પડી જાય કે નર કેટલો બળવાન છે, બ્રાઈટ કલર કામ વગરની લડાઈ રોકાવાનું સાધન પણ બની જાય. ઓછા બ્રાઈટ કલર ધરાવતા નર એની સાથે લડાઈ કરવાનું માંડી વાળે. બ્રાઈટ કલર શક્તિ પ્રદર્શન કરતા હોય છે. એનાથી બે કામ થાય એકતો માદા આકર્ષાય અને કામ વગરની લડાઈ ટળી જાય. ખાસ તો પેટની નીચેનો abdomen  ભાગમાં ઓરેન્જ અને પીળા રંગના પટ્ટા નરની રેન્ક બતાવતા હોય છે. બે નર સામસામે તે રંગનો એરિયા ઝાબકાવે અને જેનો રંગ ઢીલો પડે તે નીચી મૂંડીએ લડ્યા વગર રવાના થઈ જાય. આ થયું એક પ્રમાણિક કોમ્યુનીકેશન. પણ એની બહુ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે.
         Kestrel નામનું પક્ષી આ સરીસર્પ ગણાતા પ્રાણીને ખોરાક બનાવે છે, તે પસંદ કરે છે સરસ તગડા ભોજનને. નેચરલ સિલેકશન કાચિંડાને લગભગ ખડકની તિરાડ જેવો રંગ આર્પે છે જેથી ખડક સાથે એનો રંગ ભળી જાય અને સહેલાઈથી કોઈનું ભોજન બનતા અટકી જવાય. માદા અને પુખ્ત બન્યો ના હોય તેવો નર આછો બદામી અને થોડા ડાર્ક અને લાઈટ રંગના પટ્ટા ધરાવે જેથી ખડકની તિરાડમાં ભળી જાય. પણ ભડકીલા બ્રાઈટ રંગ ધરાવનારા કાચીંડાને એના પ્રમાણિક કલર સંદેશાની બહુ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. તે સહેલાઈથી પેલા પક્ષીનું ભોજન બની જતો હોય છે.
          કિશોરાવસ્થા સુધી બંને નર માદા સરખો રંગ ખડક જેવો ધરાવતા હોય છે. પણ નર જેમ મોટો થતો જાય તેમ એનો રંગ બદલાતો જતો હોય છે. પણ જે યંગ નર સક્ષમ ના બની શકે અને  એનો આત્મવિશ્વાસ ઓછો હોય અને  તે સંપૂર્ણ પુખ્ત નરનાં આક્રમણનો ભોગ બની શકે તેમ હોય અને માદાને આકર્ષી શકે તેમ ના હોય, છતાં સેક્સુઅલી મેચ્યોર બની ગયો હોય અને ફૂલ કલર ધારણ કરે તે પહેલાના સમય પુરતો તે હજુ એનો માદા જેવો રંગ જાળવી રાખતો હોય છે. આને વૈજ્ઞાનિકો મેલ ડ્રેસ્ડ ઈન ફીમેલ ક્લોથ કહેતા હોય છે. એના પોતાના ફાયદા પણ છે.
          મોટો, બ્રીલીયન્ટ, શક્તિશાળી નર એની રીયલ એસ્ટેટ વચ્ચે ઊભો ઊભો કાળી માંખીઓના વિશાલ સમુદાયને ભોજન તરીકે જોતો જોતો ગર્વથી અસંખ્ય માદાઓ તરફ નજરું મેળવતો હોય છે, સાથે સાથે કોઈ બીજો નર એના રાજ્યમાં ઘુસી તો ગયો નથીને તેની પણ ખાતરી કરતો હોય છે. અને કોઈ એવો દેખાય તો એની પાછળ પડી નસાડી મુકાતો હોય છે, પણ પેલા માદા જેવા દેખાતા નર બચી જતા હોય છે અને પ્રમાણિક છેતરપીંડીનો લાભ લીધે રાખતા હોય છે, માદા જેવા દેખાઈને હવે સાથે રહેલી માદાઓ સાથે યથેચ્છ ભોગ ભોગવવાની અગણિત તક મળતી હોય છે. પણ વળી મુશ્કેલી નેચરલ સિલેકશન કરતુ હોય છે. માદાના pheromones અલગ હોય છે અને નરના અલગ. માળાની ગંધ અલગ હોય છે અને નરની ગંધ અલગ હોય છે.  એટલે પેલા સરદાર મહાશય કાયમ બધાને સુંઘ્યા કરતા હોય છે અને જીભ કાઢી ચાટીને ખાતરી કરતા હોય છે. યંગ નર ભલે એમની રહસ્યમય જિંદગી માદા જેવા દેખાઈને વિતાવતા હોય પણ એમની ગંધ તો નરની હોય છે. ચોરી તો પકડાઈ જ જાય. હવે શું કરવું. એટલે પછી સરદાર નજીક આવે તો ત્યાંથી રવાના થઈ જવું સારું. ખરુંને??
  આ odd  સ્ટોરી માનવજાતના અનુભવને મળતી નથી આવતી??

સપનામાં સાપનો સળવળાટ.(Hard Truths About Human Nature).

Snake
સપનામાં સાપનો સળવળાટ.(Hard Truths About Human Nature).
    ઘણા મિત્રોને સ્વપ્નમાં સર્પ દેખાતા હોય છે. મારા એક મિત્ર પત્નીને નાનપણમાં સાપના સપના ખૂબ આવતા એવું તેમનું કહેવું છે. એમના પિતાશ્રીએ કંઈક ભાથીજી મહારાજની બાધા રાખી હશે. જો કે હવે તેમને સર્પ ઊંઘમાં દેખાતા નથી. મેં આવી ઘણી બધી સ્ટોરી મિત્રો પાસેથી સાંભળી છે. ઘણાબધાએ આવી વાતો સગાસંબંધી અને મિત્રો પાસેથી સંભાળી હશે. એક મિત્રને કોઈએ ઉપાય તરીકે મહાદેવને દૂધ ચડાવવાનું સૂચવ્યું હશે, પછી એવા ભયજનક સર્પના સપના બંધ થઈ ગયા હશે, પણ કોઈ વાર દૂધ ચડાવવાનું ચૂકી જવાય તો ફરી સપનું આવે. આ બધી હકીકત છે, સર્પનું સપનું આવવું તે પણ હકીકત છે અને મહાદેવને દૂધ ચડાવવાની કે ભાથીજી મહારાજની બાધા રાખવાથી સર્પના સપના બંધ થઈ જવા તે પણ હકીકત  છે. પણ આવું કેમ થતું હશે?
   Evolutionary mismatch નો આ એક ઓર અદ્ભુત નમૂનો છે સર્પના સપના આવવા. સર્પનો ભય આદિમ છે. આપણાં પૂર્વજો Hunter -gatherer  હતા, જંગલોમાં રહેતા હતા. આજના જેવા સુરક્ષિત મકાનોમાં રહેતા નહોતા. સર્પ અને બીજા સરીસર્પ આસપાસ ભમતા જ હોય.અવારનવાર એમનો મુકાબલો થઈ જતો હશે. સર્પે એના સર્વાઈવલ માટે ભયાનક રાસાયણિક ટેક્નિક વિકસાવેલી છે. એનું ઝેર કાતિલ હોય છે. સર્પના કરડવાથી આપણાં પૂર્વજો મરી જતા હશે. ઘણા સર્પ ઝેરી હોતા નથી. ખબર કઈ રીતે પડે કે આ સાપ ઝેરી નથી.પ્રયોગ તો કરાય નહિ, ફોલ્સ નેગેટિવ એરર તો કરાય નહિ. જોખમ કોણ લે? સર્પ જોઇને નક્કી કર્યા વગર ભય પામી ભાગી જવું અથવા એને મારી નખાય તો મારી નાખવો તેવું વલણ આપણાં પૂર્વજોનું રહ્યું હશે. તે સમયે કોઈ એન્ટી વેનોમ તો હતા નહિ. બસ આ માહિતી અને જીવલેણ અનુભવ જિન્સમાં બીજી પેઢી દર પેઢી ઊતરતા રહ્યા. આજે  હવે જ્યારે આપણે જંગલમાં રહેતા નથી છતાં સાપનો ભય તો લાગે જ છે. મોટાભાગે બહુ મોટા સાપ કે ઝેરી સાપ સાથે મુલાકાત થઈ જાય ત્યારે ભય લાગે તે સ્વાભાવિક છે. એને માઈલ્ડ Ophidiophobia કહેવાય, પણ આ ફોબિઆ જરા વધી જાય તો નાના સાપ પણ ડરાવવા લાગે. અને ખૂબ વધી જાય તો સાપના ફોટા કે ટેલિવિઝન શો પણ દેખી શકો નહિ, ધ્રુજારી વછૂટી જાય. ગરોળી,કાચિંડા કે કરોળિયાથી ડરવા લાગીએ તો એને  Herpetophobia કહેવાય છે. સાપનું સપનું આવવું  અલગ વાત છે અને એવા સપના થકી ભય પામવું અલગ વાત છે. અને આવા સપના થકી ભવિષ્યમાં કશું ખરાબ થશે તેવું માનવું અલગ બાબત છે. મને પોતાને ટીવીમાં ડીસ્કવરી ચેનલ કે નેશનલ જીયોગ્રાફી ચેનલમાં સાપ વિશેના પ્રોગ્રામ જોયા પછી સાપનું સપનું કોઈ વાર આવતું હોય છે, પણ મને કદી તેવા સપનાનો ડર લાગ્યો નથી.
        આ સર્પનો ભય માનવજાત માટે એક સર્વાઈવલ મીકેનીઝમ છે. માનવજાત તો પછી આવી તે પહેલા આ દુનિયા ઉપર રેપ્ટાઈલ એટલે સરીસર્પનું રાજ ચાલતું હતું. આદિમ મેમલ પ્રાણીઓ માટે આ ખૂંખાર સરીસર્પથી બચવું અને નવી પેઢી મૂકતા જવું પડકાર જનક કામ હતું. આદિમ મેમલ પણ સર્પથી ડરતા હશે. કારણ સર્પ એમને સ્વાદિષ્ટ ભોજન ગણતા હશે. આજે પણ સર્પનું પ્રિય ભોજન આદિમ મેમલ એવું ઉંદર છે કે નહિ? સર્પનો ભય આપણાં જિન્સમાં માહિતીરૂપે પડેલો હોય છે. અને ક્યાંક ને ક્યાંક આપણે સાપ જોતા જ હોઈએ છીએ. શહેરોમાં જોવા ના મળે તો મદારી દેખાડી આપે. ગામડાઓમાં તો સાપ સાથે એન્કાઉન્ટર થવા સ્વાભાવિક છે. અને કોઈ નાં બતાવે તો મહાદેવના મંદિર તો છે જ. ત્યાં નાગદેવતા લિંગ ઉપર એમની છત્રછાયા બિછાવીને બેઠેલા જ હોય છે. બસ પેલો ડર અચેતન રૂપે સપના દ્વારા વ્યક્ત થવા લાગતો હોય છે. બધાને આવું થાય તે જરૂરી નથી. હવે વગડામાં રોજ જવાનું તો હોતું નથી. જે લોકો રોજ ખેતરોમાં વગડામાં ફરતા હોય અને સાપ અવારનવાર દેખાતા હોય તે સહજ હોય ત્યાં હું માનું છું આવો અતિશય સર્પનો ભય હોતો નથી.
    સાપનાં સપના આવે તે સત્ય હોય છે. અવારનવાર કે રોજ આવે તે પણ સત્ય હોય છે. હવે મહાદેવને દૂધ ચડાવવાનું કહેવાથી અને રોજ તેમ કરવાથી આપણાં મનને શાંતિ થઈ જાય કે હવે મહાદેવ સંભાળી લેશે. આમેય ભારતની ૯૯.૯૯ ટકા પ્રજા ખૂબ ધાર્મિક છે. એટલે એક વિશ્વાસ પેદા થાય કે હવે સાપનાં સ્વપ્ન બંધ થઈ જવાના. બસ એમ સાપના સપના આવતા બંધ થઈ જતા હોય છે, પણ એક જાતનું માઈન્ડ સાથે કંડીશનિંગ થઈ જાય છે.  જે દિવસે દૂધ ચડાવવાનું રહી જાય તે જાગૃત મનને ભલે ખબર ના હોય, પણ અચેતન મન કે સબ કોન્શિયસ મન કહો તેને તો ખબર જ હોય છે કે આજે દૂધ ચડાવ્યું હોતું નથી, તો તે રાત્રે સપનું ફરી આવતું હોય છે. જેમ કે બીડી કે ચા પીધા વગર પેટ સાફ ના આવે તેવું. સાપના સપના પછી, ઘણીવાર શરીરમાં કોઈ ગંભીર ઇન્ટરનલ રોગ હોય તેની સૂચના મળે તે સહજ અકસ્માત હોઈ શકે. બાકી ભાથીજી મહારાજને નાળિયેર ચડાવો કે મહાદેવને દૂધ ચડાવો તેની સાથે સાપને શું સંબંધ? ભાથીજી મહારાજ ખેડા જિલ્લાના ફાગવેલ ગામના હતા અને ગાયોને બચાવવા જતા શહીદી પામેલા. એમના ફોટા સાથે સાપનો એટલે કે નાગદેવતાનો ફોટો હોય છે. કઈ રીતે એમની સાથે જોડાઈ ગયો તે મને હિસ્ટ્રી મને ખબર નથી. ખેડા, બરોડા અને ભરૂચ જીલ્લાના લગભગ દરેક ગામમાં એમનું મંદિર હોય છે. ઉત્તર ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં જોવા ના મળે. ત્યાં વળી બીજા કોઈ મહારાજ હશે. સાપના આદિમ ભયે જ સાપને મહાદેવ સાથે રહેવા મજબૂર કરી દીધો હશે, કે જુઓ અમારા મહાદેવ ભયાનક એવા સાપને ગળે લઈને ફરે છે ને?
    કાલીય નાગ, તક્ષક અને શેષનાગ આપણી પૌરાણિક કથાઓના અમર પાત્રો છે. લોકવાયકા અને એવી કથાઓ પણ હોય છે કે કોઈ નાના બાળકના માથે સાપે ફેણ ફેલાવીને એનું રક્ષણ કર્યું, આવા દ્રશ્યો જોઇને તે બાળક મહાન ચક્રવર્તી બનશે તેવી આગાહીઓ કરવામાં પણ આવી છે. આવી વાર્તાઓ ગોઠવી કઢાઈ હોય છે. એમાં કશું તથ્ય હોય નહિ. નાગ બદલો લે તેવા વાર્તાઓ પણ હોય છે, અને આવી બકવાસ વાર્તાઓના મુવી પણ બન્યા છે. સાપ પાસે મેમલ બ્રેઈન કે કોર્ટેક્ષ હોતું નથી, એની પાસે ખાલી રેપ્ટાઈલ બ્રેઈન હોય છે. સાપ કે કોઈ પણ  રેપ્ટાઈલ ઓક્સીટોસીન નામનું ન્યુરો કેમિકલ પેદા કરતા નથી, જે વિશ્વાસ અને પ્રેમનું જનક છે. સર્પ કોઈના ઉપર ટ્રસ્ટ રાખે નહિ. રેપ્ટાઈલ ત્રણ વસ્તુ જાણતા હોય છે, એક તો સામે સાઈઝમાં પોતાની પ્રજાતિનું હોય કે કોઈ પણ, નાનું સરીસર્પ મળે તો ખાઈ જાઓ, મોટું મળે તો ભાગી જાવ અને પોતાની પ્રજાતિનું પણ સરખી સાઈઝનું મળે તો સંભોગ કરો.
     સાપના સપના ખૂબ આવતા હોય તો સર્પ વિષે જેટલું જ્ઞાન પ્રાપ્ત થાય તેટલું કરવું જોઈએ. સાપના ફોટા કે ટીવી શો જોવા જોઈએ. પ્રાણીબાગમાં જઈને  સાપને નજદીકથી જોવો જોઈએ. સાપનાં ઍજ્યુકેશનલ શો જોવા જોઈએ. સેલ્ફ હિપ્નોસીસ કે  cognitive -behavioral therapy  જેવી થેરાપી લેવી જોઈએ કે ભાઈ સાપ હવે ભયજનક રહ્યા નથી. આપણે હવે જંગલમાં રહેતા નથી. અમદાવાદમાં હું મારા બાળકોને લઈને સાપ વિષે ઍજ્યુકેશનલ શો જોવા ગયો હતો. લગભગ જોધપુર ટેકરા એરીયામાં સુંદરવન હતું. ત્યાં જાતજાતના સાપ હતા, એક ઓપન એર થિયેટર હતું ત્યાં બેસીને આ શો જોવા મળતા હતા. અહી સાપને કાન હોતા નથી તે પ્રત્યક્ષ સમજાવેલું. ઝેરી કોબ્રાની ફેણ પાછળ તે ભાઈ તાલી પાડતા હતા પણ સાપ સાંભળતો જ નહોતો. પણ સામે આવીને હાથ હલાવ્યો તો ડંખ મારવા જબરી ઝડપ મારેલી. મદારીઓ સાપ વિષે ઘણીબધી અજ્ઞાનતા અને અંધ શ્રદ્ધા ફેલાવતા હોય છે. મદારીઓ સાપ દૂધ પીવે છે તેવું કહી પૈસા કમાતા હોય છે. સાપનો ખોરાક દૂધ નથી, દૂધ એના માટે ઝેર સમાન છે. પર્યાવરણની ચિંતા રૂપે નાગપંચમી શરુ થઈ હોવી જોઈએ, પણ આપણી અજ્ઞાનતા જુઓ. ખાલી નાગ પંચમીના દિવસે દર વર્ષે લાખો સાપ ભારતમાં મરી જતા હોય છે તેવો એક સર્વે આવેલો. આ દિવસે અંધ શ્રદ્ધાળુઓ પાસેથી કમાવા માટે મદારીઓ સાપના મોઢામાં પરાણે દૂધ રેડે છે, અને એના ફેંફસામાં દૂધ જતું રહેવાથી સાપ મરી જતા હોય છે. નાગ પંચમીનો તહેવાર સાપ માટે ભારતમાં એમનો મૃત્યુદીન બની જાય છે. નાગ પંચમી મનાવીને આપણે ઇકોલોજીની ચિંતા કરીએ છીએ કે નાશ?
         એક બણગાં ફૂંકનારા મિયા ફુસકી હતા. એક દિવસ વગડે જઈને આવ્યા પછી કહે,
  ‘આજ તો મૈને સો સાપ દેખે.’  મિત્રોએ કહ્યું ભાઈ સાવ ફેંકો નહિ,
 ‘એક સાથ  સો સાપ કૈસે નવરે પડ ગયે કે ઘૂમને નીકલે? ઐસા હો નહિ શકતા.’ પણ મિયાભાઈ  માને? કહે
‘ચલો સો નહિ તો પચાસ તો હોંગે હી હોંગે.’ મિત્રો કહે,
‘પચાસ ભી એક સાથ હો નહિ શકતે, જરા રંધા કમ ચલાઓ, કુછ ઢંગ કી બાત કરો.’  મિત્રો નકારતા ગયા તેમ ધીમે ધીમે ભાઈ સંખ્યા ઘટાડતા ગયા.છેવટે કહે,
‘સાલે દો તો થે હી માં કસમ જૂઠ નહિ બોલતા.’ મિત્રો કહે જુઓ સો ઉપરથી બે ઉપર આવી ગયા.
‘મિયા ખાલાકી કસમ સચ બતાદો.’ મિયા કહે,
‘ ક્યા કહું મૈ તો ગભરા ગયા થા, સાલા કુછ સલવલ સલવલ હોતા થા’

મમ્મી મારે હાલ સુઈ જવું નથી, Bedtime Protest.(Hard Truths About Human Nature).

મમ્મી મારે હાલ સુઈ જવું નથી, Bedtime Protest.(Hard Truths About Human Nature).
      પશ્ચિમના જગતમાં નાના બાળકો નિયમિત,  રાત્રે સુવા જવાનું કહેવામાં આવતા વિરોધ કરતા હોય છે. જાતજાતના બહાના કાઢતા હોય કે એમને થાક લાગ્યો નથી, ખરેખર તેઓ આખો દિવસ રમીને થાકેલા જ હોય છે. કે બહાનું કાઢે કે ભૂખ લાગી છે, તરસ લાગી છે, કે વાર્તા સાંભળવી છે, કે તેઓને ડર લાગે છે, અંધારાંનો ડર લાગે છે, કે કબાટમાં કે પલંગ નીચે કોઈ ભૂત છે કે રાક્ષસ છુપાયો છે વગેરે વગેરે. અને જે બાળકો ખૂબ નાના હોય જે શબ્દોમાં વ્યક્ત કરી શકતા નાં હોય તેવા રડતા હોય અને ચીસો પાડતા હોય છે.
    બાળકો શા માટે આવો વિરોધ કરતા હશે? ફેમસ બિહેવિયરલ સાયકોલોજિસ્ટ જોહ્ણ વોટસન દલીલ કરતા હોય છે કે પશ્ચિમની સંસ્કૃતિમાં બાળકોને વધારે પડતી સ્વતંત્રતા અને છૂટ આપેલી હોય છે, જેના લીધે બાળકો સ્વછંદી બનીને બગડી જતા હોય છે. એટલે માતાપિતાએ મક્કમ રહીને આવો બાળકોનો વિરોધ ટાળીને એમને બગડતા રોકવા જોઈએ એવી ટીપીકલ સલાહ અપાતી હોય છે.
    તજજ્ઞોની સલાહ અને માન્યતામાં કશું ખૂટતું હોય તેવું લાગે છે. શા માટે બાળકો રાત્રે સુવા જતી વખતે વિરોધ કરતા હશે? સૂર્ય પ્રકાશ કે રમકડા જેવી બીજી કોઈ પણ વસ્તુનો બાળકો વિરોધ કરતા નથી, પણ ઊંઘ જેઓના માટે સારી છે તેનો જ શું કામ? ઈવોલ્યુશનરી સાયકોલોજી શું વિચારે છે જોઈએ.
      ભારતમાં આવું લગભગ બનતું નથી. બીજા દેશોના બાળકોની વર્તણૂકનો અભ્યાસ કરતા જાણવા મળ્યું કે  Bedtime protest  પશ્ચિમના દેશો અને પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરનારા લોકોના ઘરના બાળકોમાં ખાસ જોવા મળે છે. બીજા દેશોમાં અને ભારતમાં નાના બાળકોને એકલાં સુવડાવવાનો રિવાજ છે નહિ. બાળકો લગભગ માતાપિતા સાથે કે બીજા મોટેરાં સાથે એક જ રૂમમાં અને મોટા ભાગે એક જ પથારીમાં સુતા હોય છે. ત્યાં Bedtime protest અસ્તિત્વમાં છે નહિ. માટે તાત્પર્ય એવું નીકળે કે બાળકો સુવા જવા માટે વિરોધ કરતા નથી, વિરોધ એમનો એકલાં સુવા જવા વિષે હોય છે. જ્યારે બીજા દેશો અને ખાસ તો પૂર્વના દેશોના લોકોએ પહેલી વાર જાણ્યું કે પશ્ચિમની સંસ્કૃતિમાં નાના બાળકોને એકલાં સુવડાવતા હોય છે જુદી રૂમમાં ત્યારે  બહુ મોટો આંચકો ખાઈ ગયેલા. અરે સાવ નાના ધાવણા બાળકને પણ જુદું સુવડાવે ત્યારે ખૂબ નવાઈ સાથે મોટો ઝટકો લાગે કે નાના બાળકો પ્રત્યે આટલાં ક્રૂર માતાપિતા કઈ રીતે બની શકે?  અરે! એમના મોટા ભાઈ બહેન સાથે પણ સુવાનું નહી, દરેકની રૂમ જુદી. જો કે એક બેડરૂમના એપાર્ટમેન્ટમાં રહેતા હોય ત્યાં તો ભેગાં સુવાનો બીજો કોઈ વિકલ્પ હોય નહિ. સાધન સંપન્ન  લોકો બાળકોને એકલાં સુવડાવવાની વ્યવસ્થા કરી શકતા હોય છે. એમના માટે જેટલા બાળકો તેટલી જુદી રૂમની વ્યવસ્થા સહજ હોય છે. એટલે નાં છુટકે બાળકોને સાથે સુવડાવતા ભલે હોય પણ પશ્ચિમની માનસિકતામાં બાળકોને જુદા સુવડાવવા તેવી માનસિકતા ઘર કરી ગઈ હોય છે.
    ભારતમાં પણ અંધ અનુકરણે આવો ટ્રેન્ડ આવી ગયો છે સાધન સંપન્ન પરિવારોમાં. Hunter-gatherer સમાજ જેવા કે આફ્રિકાના મસાઈ હોય કે શાન બુશમેન જેવા હોય કે બીજા કોઈ પણ હોય તેવા લોકોને,  બાળકોને પશ્ચિમના લોકો જુદા સુવડાવે છે જાણી બહુ મોટો આંચકો લાગેલો, કારણ તે લોકો જાણતા હોય છે કે અંધારાંમાં એકલાં છોડી જવા માટે બાળકો કાયમ વિરોધ કરતા જ હોય.
    ૧૦,૦૦૦ વર્ષ પહેલા આપણે બધા આખી દુનિયાના લોકો Hunter-gatherer જ હતા. બીજા સસ્તન પ્રાણીઓની જેમ ગ્રૂપમાં રહેવું આપણો ધર્મ હતો. આપણે એવી દુનિયામાં જીવતા હતા જ્યાં અંધારાંમાં એકલું પડેલું નાનું બાળક અને કિશોર રાત્રે ફરતા શિકારી પ્રાણીઓનો સ્વાદિષ્ટ નાસ્તો સહેલાઈથી બની શકે. ઘાસની બનાવેલી નાની ઝૂંપડી સંરક્ષણનું સાધન નહોતી. સંરક્ષણનું સાધન હતું પુખ્ત મોટી વયના મજબૂત,  ઘરના કે ગ્રૂપના બીજા સભ્યોનું આસપાસ હોવું. જેટલા વધુ આવા સભ્યો આસપાસ હોય તેટલી બચવાની શક્યતા ઘણી વધારે હોય. બીજા તમામ મેમલ્સમાં પણ આજ સર્વાઈવલ ટેક્નિક હોય છે, નબળા અને નાના બચ્ચાઓ ટોળાની વચમાં રહે, અને રાત્રે તો ખાસ. કોઈ માનસિક બીમાર કે સાવ બેદરકાર માતા કે પિતા જ બાળકોને એકલાં છોડી દેતા પણ તેઓનું રક્ષણ કરવા સમૂહના બીજા લોકો  હાજર રહેતા.
   એટલે જ્યારે રાત્રે સાવ નાના બાળકો તો ઠીક પણ સગીર વયના કે કિશોરાવસ્થા ધરાવતા બાળકો પણ રાત્રે એકલાં પડતા ડરતા અને મોટેરાંનું ધ્યાન ખેંચવા રડવું સ્વાભાવિક છે. અને આ માહિતી, આ સર્વાઈવલની બેજીક ટેક્નિક પોતાના જિન્સ દ્વારા ફ્યુચર જનરેશનમાં પસાર કરતા જતા હોય છે.
   એટલે જ્યારે તમારું બાળક રાત્રે એકલું સુવા માટે ઇનકાર કરે તો એવું ના સમજવું જોઈએ કે તેઓ તમારી અવગણના કરે છે, કે તમારી ઇચ્છાનું કે આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, પણ તેઓ ખરેખર ચીસો પડતા હોય છે તેમના વહાલા જીવન માટે. તમારું બાળક અંધારાંમાં એકલાં રહેવાનું આવે તો રડે છે કારણ જીનેટીકલી આપણે બધા hunter – gatherer  છીએ, અને આપણાં બાળકોના જિન્સમાં માહિતી   સંગ્રહાયેલી જ હોય છે કે રાત્રે એકલાં પડવું એટલે આત્મહત્યા છે.
       Evolutionary mismatch નો  આ એક ઉત્તમ નમૂનારૂપ દાખલો છે. કારણ આજનું વાતાવરણ જુદું છે, આપણે હવે આપણાં પૂર્વજો જેવા રહ્યા નથી, જંગલમાં રહેતા નથી. કે આપણાં evolutionary પૂર્વજો જે વાતાવરણમાં રહેતા હતા તેવા વાતાવરણમાં આપણે હાલ રહેતા નથી. કે આપણાં બાળકો સહેલાઈથી કોઈનું ભક્ષણ બની જાય તેવું હાલ બનતું નથી. આપણાં પૂર્વજોના સમયમાં પોતાના બાળકને ક્યારેય એકલું છોડતા નહિ. માતાપિતા, કાકાકાકી, દાદા દાદી કે ગ્રૂપના બીજા સભ્યો બાળક રડતા તરત દોડી આવતા. આજે કોઈ કારણ વગર બાળકો એકલાં પડતા રડે તે ઘણીવાર સમજણ વગરનું લાગતું હોય છે. એટલે આપણે માનતા હોઈએ કે બાળકોએ શીખવું જોઈએ. અને તજજ્ઞો માનતા હોય છે કે બાળકોને બગાડવા જોઈએ નહિ. એટલે લોકો બાળકો સાથે લડતા હોય છે એમને સાંભળવાને બદલે, સમજવાને બદલે કે બાળક ચેતવતું હોય છે કે કોઈ પણ બાળક રડે તો એને ઊચકી લો, એને ગળે લગાવો એની ચિંતા કરો, કાળજી રાખો, નહી કે એને એકલું છોડી દો.
  તો શું કરીશું? એક્સપર્ટની સલાહ મુજબ બાળક સાથે સખ્તાઈ કરવી કે આપણાં જિન્સ કહે છે તેમ બાળકને સાથે સુવડાવવું? ભારતમાં લાખો ગરીબોને રહેવા એક ઓરડીના ફાંફાં હોય ત્યાં આવા હાઈ સોસાયટી પ્રશ્નો ઊભા થતા નથી. એટલે ખાસ ચિંતા કરવા જેવું નથી, પણ સાધન સંપન્ન પરિવારના લોકોએ આ બાબતે પશ્ચિમનું બધું સારું જ હોય તેમ માની અંધ અનુકરણ કરવું જોઈએ નહિ.

રાસાયણિક તત્વજ્ઞાન-૩, માનવ જન્મ અતિ કઠિન.(Hard Truths About Human nature).

 રાસાયણિક તત્વજ્ઞાન-૩,
માનવ જન્મ અતિ કઠિન.(Hard Truths About Human nature).75216-65718

દરેક મૅમલ પાસે કૉર્ટેક્સ છે, પણ ઘણા પાસે સાવ નજીવું હોય છે. જેટલું કૉર્ટેક્સ નાનું  તેટલું તે પ્રાણી કુદરતી ન્યુરોકેમિકલ્સનાં રિસ્પૉન્સ ઉપર આધાર રાખવાનું, જે તે બચપણથી શીખ્યું હોય. જેમ કૉર્ટેક્સ મોટું તેમ એના ઑટમૅટિક રિસ્પૉન્સ સાથે પોતાના પાછલાં સ્ટોઅર કરેલા અનુભવો લક્ષમાં લઈને અડજસ્ટ કરશે. બસ અહી જ તકલીફ થતી હોય છે.

પ્રાણીઓ પાસે બ્રેન નાનું હોય છે, ન્યુરૉન્સ ઓછા હોય છે, માટે વિચારવાનું ખાસ હોતું નથી. ન્યુરોકેમિસ્ટ્રી જેમ દોરે તેમ દોરાવાનું. સર્વાઇવલ માટે લડ્યા કરવાનું, એક સ્ટ્રેસ પૂરો થાય એટલે બીજો જ્યાં સુધી ઊભો નાં થાય ત્યાં સુધી શાંતિ. માનવ પાસે મોટું વિચારશીલ બ્રેન છે, પુષ્કળ ન્યુરૉન્સ છે. માટે એકલાં ન્યુરોકેમિકલ ઉપર આધાર રાખવાનો હોય નહિ. મોટા બ્રેનમાં ઘણી બધી મૅમરી પણ ભરેલી હોય. એટલે માનવે જાત જાતની નવી નવી વ્યવસ્થાઓ શોધી કાઢી. હૅપી કેમિકલનો સ્ત્રાવ આનંદ આપતો હોય છે. પ્રાણીઓમાં તો નબળા પ્રાણીને મારીને દબાવીને ડૉમિનન્ટ બની જવાય, અને સિરોટોનીન(serotonin) સ્ત્રવે એટલે ખુશ. પણ માનવોમાં આવું કરી શકાય નહિ. એટલે માનવજાતે ચડતા ઊતરતા દરજ્જાની સર્વોપરી બનવાની એક સામાજિક વ્યવસ્થા શોધી કાઢી.

બે માનવ ભેગાં થાય, બાર થાય કે બે લાખ કોણ ઊંચું અને કોણ નીચું અચેતન રૂપે સરખામણી શરુ, અને ઉંચો સાબિત કરવાનું શરુ થઈ જાય. બહુ જટિલ રીતો માનવ બ્રેન શોધી કાઢતું હોય છે. દા.ત. મેં લખવાનું શરુ કર્યું ત્યારે મને કોઈ ઓળખતું નહોતું. મને થતું કે વિચારોનું બહુ મોટું યુદ્ધ મનમાં ચાલી રહ્યું છે, એને શબ્દોમાં પરોવીએ, કોઈ વાંચે કે ના વાંચે નિજાનંદ માટે લખીએ. પણ પ્રતિભાવ શરુ થયા, બહુ સારું લખો છો, આવા એક બ્લૉગની જરૂર હતી, વગેરે વગેરે.

હવે સાચો નિજાનંદ શરુ થયો. હવે લાઇકના ઝબુકીયાં, કૉમેન્ટ્સ, પ્રતિભાવો, થતા વખાણ, વાદવિવાદ બધું મજા અર્પવા લાગ્યું. મિત્રોની કૉમેન્ટ્સ ના આવે તો ડોપમીન(dopamine) સ્ત્રાવ ઓછો થઈ જતો લાગ્યો. પોસ્ટ બેત્રણ દિવસ ટૉપ ઉપર રહે તો વળી ઓર મજા આવે. હું તો નિજાનંદ માટે લખું છું, મને કોઈની પડી નથી કોઈ વાંચે કે ના વાંચે તે એક દંભ થઈ ગયો કે નહીં ?  દરેક માનવ પોતપોતાની રીતે Social dominance hierarchy ઊભી કરી નાખતો હોય છે.

રમતવીરની એની પોતાની દુનિયા હોય છે, ઘણાને ટપાલ ટીકીટો ભેગી કરવાનો હોબી હોય છે. એક ઉદ્યોગપતિને જૂની પુરાણી ઍન્ટિક ગાડીઓ ભેગી કરવાનો શોખ હતો. હવે ટપાલ ટીકીટો ભેગી કરનારા, કે સિક્કા ભેગા કરનારાઓ, કે જૂની પુરાની ગાડીઓ ભેગા કરનારાઓમાં પ્રથમ આવવાનું મહત્વનું બની જવાનું.  ધન ભેગું કરીને સમાજમાં સર્વોપરી બનવાનું ઘણું બધું ધ્યાન અને મહેનત માંગી લે તેવું હોય છે, પણ માણસ નવા સામાજિક નુસખા શોધી કાઢતો હોય છે. આકર્ષકતા, નૉલેજ, શારીરિક સામર્થ્ય, આધ્યાત્મિકતા, પદ, પ્રતિષ્ઠા વગેરે ઉપર આધારિત ઊંચા નીચાની એક પૅટર્ન શોધી કાઢવામાં આવે છે.

દરેક માનવીનું બ્રેન સ્વતંત્ર છે પોતાની રીતે એના અનુભવો અને માહિતી પ્રમાણે પોતાની હાઇઆરાર્કી બનાવવા માટે. આનાથી પોતાનું સ્ટૅટ્સ વધે તો સુખ અર્પતું હોય છે. જો બીજા તમારું સ્ટૅટ્સ કબૂલ કરે તો હૅપી કેમિકલનો ફ્લો બ્રેનમાં વધી જતો હોય છે. જો કે આપણે કહેતા હોઈએ છીએ કે સુખ દુખ મને કોઈ અસર કરતું નથી. કે તમે ભલે કબૂલ નાં કરો, પણ હૅપી કેમિકલ એક હકીકત છે, સનાતન સત્ય છે.

પ્રથમ આવવું સુખ આપતું હોય છે. પછી ભલે એના રસ્તા અલગ અલગ હોય. ભલે ગીતાના અનાસક્ત  યોગની વાતો કથાકારો કરતા હોય કે કથામાં જાત જાતની ફિલૉસફી ફાડતા હોય, પણ એમની પ્રથમ બની રહેવાની સ્ટાઇલ અલગ હોય છે. બાબા રામદેવની અસ્કયામતો ૧૧૦૦૦ કરોડનાં જંગી અંકે પહોચી ગઈ છે તેવું કહેવાય છે. હાઈ-સ્ટૅટ્સની બાબાની હાઇઆરર્કી યોગને સીડી બનાવી ક્યાંથી ક્યાં પહોચી ગઈ ? આપણી રીપ્રૉડક્ટિવ સફળતા એકદમ તરત હાઈ-સ્ટૅટ્સને અનુલક્ષીને  હોતી નથી. કારણ આપણે માનવોએ રીપ્રૉડક્ટિવ સકસેસ માટે  અસંદિગ્ધ કૉન્સેપ્ટ ઊભા કરેલા છે. જે પ્રથમ આવે તેને સ્ત્રી ઉપલબ્ધ થાય અને DNA  ટ્રાન્સ્ફર કરી શકીએ. બાબા ભલે એમના DNA ટ્રાન્સ્ફર ના કરે પણ પ્રથમ આવવું  અને હૅપી કેમિકલનો સ્ત્રાવ એ સનાતન સત્ય છે.

પણ કેમિકલ લોચો એ થાય છે કે આ ન્યુરોકેમિકલ્સ આખો દિવસ રિલીસ થાય નહિ. માટે હૅપી રહેવા હાઈ-સ્ટૅટ્સને, સામાજિક સર્વોપરિતાને, રોજ રોજ અપડેટ કરતા રહેવું પડતું હોય છે. પણ ઘણીવાર આપણે ખૂબ પ્રયત્નો છતાં પદ, પ્રતિષ્ઠા, માન સન્માન, સામાજિક સ્વીકાર, હાઈસ્ટૅટ્સ સોશિડૉમિનેશન મેળવવામાં ફેલ જતા હોઈએ છીએ. ઘણીવાર જે સ્ટૅટ્સ ઑલરેડી મેળવેલું હોય તે પણ ખતરામાં પડી  જતું જણાય છે, ત્યારે આપણે ભલે કહીએ કે મને કોઈ ફરક પડતો નથી, સુખ દુઃખમાં હું  સમાન છું, પણ અનહૅપી કેમિકલ્સ સ્ત્રવે તે હકીકત છે સનાતન સત્ય છે.

ગુરુઓ કે મહાન આત્માઓ ભલે કહે કે મહત્વાકાંક્ષા રાખવી નહિ, કે સ્ટૅટ્સની ચિંતા કરવી નહિ. પણ તે લોકો પણ જાતે મિલ્યન્સ ઑફ યર્સ થી ઘડાયેલી આ વ્યવસ્થા બહાર જઈ શકતા નથી. મૅમલ બ્રેન હંમેશા હૅપી કેમિકલ્સનો સ્ત્રાવ ઇચ્છતું હોય છે અને અનહૅપી કેમિકલનો સ્ત્રાવ અવૉઇડ કરતું હોય છે. મહાત્માઓ  શું કરી શકવાના હતા?

ઘણીવાર લોકો આ અથડામણ ટાળવા માટે કહેતા હોય કે મને તો પદ પ્રતિષ્ઠાની કઈ પડી નથી. અને બીજાની પ્રતિષ્ઠા વધારવામાં મદદ કરતા હોય છે, અને આમ તે લોકોની પ્રતિષ્ઠાની ભૂખ બીજાની પ્રતિષ્ઠામાં, પદમાં અને સ્ટૅટ્સમાં પૂરી થતી હોય છે. જેમ કે ભારતની ટીમ જીતે તો આખા દેશના લોકોના બ્રેનમાં સિરોટોનીન સ્ત્રાવ વધી  જાણે કોઈ મહાજંગ જીતી ગયા હોય તેમ ખુશ થઈ ઉઠતા હોય છે. એમાય સામે પાકિસ્તાનની ટીમ હોય અને જીતી જવાય તો ?? ભલે હું કદી ક્રિકેટ રમ્યો હોઉં નહિ, પણ  અહી ટીવી ઉપર જોઇને આનંદ અનુભવતો હોઉં છું. પ્રથમ આવવાની મહેનત તો ખેલાડીઓ કરે છે, એમાં મારું યોગદાન કેટલું ? પણ એમના પ્રથમમાં મારો પ્રથમ સમાઈ જવાનો.

માનવમનની સોશિઅલ ડૉમિનન્સ  હાઇઆરાર્કી એટલી બધી કૉમ્પ્લિકેટેડ છે કે ના પૂછો વાત, આ દરેક સાહિત્યકારો, પત્રકારો, કે બીજા કોઈપણ દરેકને પોતાના ક્ષેત્રમાં તો પ્રથમ આવવું જ હોય છે, એમાં હું પણ મારી રીતે આવી જાઉં.  હમણાં એક ભાઈએ મને જણાવ્યું કે ન્યુ જર્સીમાં ૩૦૦ મિલ્યન્સ ડૉલર્સનું મંદિર બને છે, તે વખતે તેમના મુખ ઉપર ભાવ જાણે તેઓ પોતે ગ્રીનીઝ બુકમાં રિકૉર્ડ નોંધાવવાના હોય તેવો હતો.

મૅમલ બ્રેન એની સર્વાઇવલ સ્ટ્રેટેજીનાં રિપૉર્ટ કૉર્ટેક્સને શબ્દોમાં આપતું નથી. એ ખાલી ન્યુરોકેમિકલનાં સ્ત્રાવ કરતું હોય છે. આપણી જુદી જુદી જરૂરીયાતોને લક્ષ્યમાં લઈને તે ખૂબ સ્ટ્રગલ કરતું હોય છે. આપણે જેમ કાર ચલાવતી વખતે  બ્રેક અને એક્સલરેટર વારંવાર વારાફરતી મારતા હોઈએ છીએ. તેમ મૅમલ બ્રેન વારાફરતી વારંવાર કેમિકલ્સ રિલીસ કર્યા કરતું હોય છે, આનો કોઈ અલ્ટિમેટ ઉપાય છે નહિ. એટલે આપણને બીજાની જોહુકમી કે પદ પ્રતિષ્ઠાની હોડ જલદી જણાય છે પણ પોતાની હોડ જણાતી નથી. બીજાની  social dominance માટેની ઇચ્છા આપણને ચેતવતી હોય છે કે આપણું social dominance ખતરામાં છે.

મૅમલ બ્રેન સાથે માનવ તરીકે જન્મ લેવો અતિ કઠિન કામ છે. હતાશાઓનો કોઈ પાર હોતો નથી. મૅમલ બ્રેન સીધા કેમિકલ્સ રિલીસ કરતું હોય છે અને વિચારશીલ કૉર્ટેક્સ એના માટે દવા તરીકે, ઉપાય તરીકે જાત જાતના નુસખા શોધતું હોય છે. પ્રૉબ્લેમ એ છે કે કૉર્ટેક્સ શબ્દોની ભાષા જાણે છે અને મૅમલ બ્રેન શબ્દોની ભાષા જાણતું નથી, ફક્ત કેમિકલની ભાષા જાણે છે, એટલે માનવોને સમજ પડતી નથી કે તેઓ શું કરી રહ્યા હોય છે.

દરેકને પ્રથમ આવવું હોય છે. પ્રથમ બનવાની હોડ સારી નહિ તેવા ઉપદેશો આપનાર પણ પ્રથમ આવવાની હોડમાં સામેલ હોય છે. એટલે સારા ગણાતા માનવોને લાગે કે દુનિયા ખરાબ છે. દુઃખ સિવાય અહી કશું નથી. માટે બુદ્ધે કહ્યું કે સંસાર દુખ છે. આપણે જે Frustrations ભોગવીએ છીએ તે આ પૃથ્વી પહેલા પગરણ મૂકનાર માનવે પણ ભોગવ્યા જ હશે, તેવું રિસર્ચ કહે છે. દરેક જણ આ વિચિત્ર ન્યુરોકેમિકલ્સની વ્યવસ્થાને મૅનેજ કરવા ખૂબ સ્ટ્રગલ ચેતન કે અચેતન રૂપે કરતા હોય છે. ખાસ તો પોતાના મૅમલ બ્રેનને સમજવું અને સ્વીકારવું તે જ ઉત્તમ છે.

આપણું બ્રેન કુદરતી રીતે હેપીનેસ માટે સિલેક્ટ થયેલું નથી, તે સિલેક્ટ થયું છે reproductive success માટે. સંતાનો કે વારસદારો ખૂબ પેદા કરો તેવો કોઈ હેતુ આજના લોકો માટે ખાસ નાં હોય તે સ્વાભાવિક છે. પણ આપણું બ્રેન વિકાસ પામ્યું ત્યારે મોટાભાગના લોકો વારસદાર પેદા થાય તે પહેલા જ નાશ પામી જતા. વારસો પેદા કરવા તે મુખ્ય માપ તોલ ગણાતું કે માણસ કેટલો સફળ છે. ભલે તે હેતુ અચેતન રૂપે હોય.

હવે આજે શક્ય બન્યું છે કે સેક્સ ભોગવીને પણ બર્થ કંટ્રોલ સાધનો વડે વારસો પેદા ના કરવા હોય તો તે વાત બની શકે છે. એટલે આધુનિક માનવી એની શક્તિઓ બીજા ભવ્ય વારસા મૂકતો જવામાં વાપરી શકે છે. જેવું કે કળા, નૃત્ય, ટેક્નોલૉજી, અને બીજું ઘણું બધું પાછળની પેઢીના જીવનને ભવ્ય બનાવી શકે છે. સ્ટીવ જૉબ ભાવી પેઢીની હથેળીમાં ફોન વત્તા કમ્પ્યૂટર આપીને ગયા. ૧૯૫૫માં આ જગત આઈનસ્ટાઇનને ગુમાવે છે અને સ્ટીવ જૉબને મેળવતું હોય છે. ઘણા બધા સંતાનો  પેદા કરવા તેના બદલે ઓછા પણ સક્ષમ પેદા કરવા તે આધુનિક માનવીનું પ્રયોજન હોય છે.

આપણે કરોડો વર્ષના વારસા રૂપે મળેલા બ્રેન સાથે જ જીવવાનું હોય છે. આપણે બેસિક મેમલિઅન બ્રેન  મળેલું  છે તેમાં કોઈ ફેરફાર કરી શકવાના નથી. એનો કોઈ ઉપાય નથી. આપણે ફક્ત એક જ કામ કરી શકીએ કે ન્યુઅરલ નવા રસ્તા બનાવીને લિમ્બિક સિસ્ટમ સાથે જોડી શકીએ,  તે ખૂબ કપરું કામ  છે. આપણે આપણાં પોતાના મૅમલ બ્રેનને મૅનેજ કરી શકીએ, બીજો કોઈ કરી શકે નહિ. આપણે કાયમ ઇચ્છતા હોઈએ કે કાયમ હૅપી કેમિકલ્સ રિલીસ થયા કરે અને આનંદિત રહ્યા કરીએ, પણ આપણું યંત્ર તે રીતે વિકાસ પામેલું નથી. સર્વાઇવલ માટે કામ લાગે ત્યાં ત્યાં હૅપી કેમિકલ્સ રિવૉર્ડ રૂપે રિલિસ થતા હોય છે. એટલે જો હૅપી કેમિકલ્સનાં હૉજમાં આખો દિવસ સ્નાન કર્યા કરીએ તો સર્વાઇવલ માટે જે કરવાનું હોય તે કરે કોણ ?

આ કેમિકલ લોચા નાહિંમત કરનારા છે. માટે મૅમલ બ્રેનને સમજવાને બદલે લોકો સંસાર છોડીને ભાગી જતા હોય છે. ન્યુરોકેમિકલ રિવૉર્ડ માટે જોખમ લેવું પડતું હોય છે. કારણ જોખમ reproductive success માટે અનિવાર્ય છે, જે ખાલી સર્વાઇવલ પૂરતું નથી  હોતું.  હૅપી કેમિકલ્સનાં ડૉસ માટે, પણ કાયમ નવી નવી તક શોધવી પડતી હોય છે. કારણ આજ બ્રેન આપણાં પૂર્વજોના સર્વાઇવલ માટે કારણભૂત બનેલું હોય છે. માટે સતત ઉદ્યમ કરતા રહેવું, ’ઉદ્યમો ભૈરવ’….પણ સાધુઓ આ વાત સમજ્યા નહિ અને સંસાર છોડીને ભાગી ગયા, સાથે મૅમલ બ્રેન તો લેતા જ ગયા અને ત્યાં જંગલમાં કે આશ્રમમાં એક નવો સંસાર વસાવીને ફરી પાછા એના એજ.

સ્મરણ શક્તિ માતા.

loss
Image by CrazyFast via Flickr
 સ્મરણ શક્તિ માતા.

સ્મરણ શક્તિ માતા

ઘણીવાર કોઈ વસ્તુ મગજમાં હોય અને યાદ આવતી નથી. ભુલાઈ જાય છે, જેટલી મહેનત યાદ કરવા કરીએ તેટલું યાદ આવે જ નહિ. એક બહેન કૌન બનેગા કરોડપતિ જે બચ્ચન સાહેબ હોસ્ટ કરતા હોય છે તેમાં આવેલા નામ યાદ રહ્યું નથી, જોયું? સ્મૃતિભ્રંશ. પણ અટક યાદ રહી છે, પુવાર હતી, ઉત્તર ભારતના હતા. અટક કેમ યાદ રહી?  અમારે રાજપૂતોમાં પુવાર અટક હોય છે માટે. એમનો પ્રૉબ્લેમ હતો કે સાવ ભુલક્કડ હતા. કશું યાદ રહેતું નહોતું. પતિદેવ પાણી લેવા મોકલે તો પોતે પાણી પીને પાછાં આવી જાય, પણ પતિ માટે લાવવાનું ભૂલી જાય. બચ્ચન સાહેબ કહે આવું તો અમારે પણ ઘણી વાર થતું જ હોય છે.

આ બહેનનો ભૂલવાનો સ્વભાવ ગંભીર પ્રશ્ન હતો. એમના પતિ કહે કોઈવાર આવું થાય તો સમજ્યા આ તો કાયમ ભૂલી જાય છે. નવાઈની વાત એ છે કે આ  ભૂલકણી નાર સવાલોના ઉત્તર આપી આપીને ૫૦ લાખ રૂપિયા જીતી ગઈ, એક કરોડના સવાલ ઉપર એણે રમત છોડી દીધી. શું આ બહેનજી ભૂલકણી હતી ? તો સવાલોના ઉત્તર એણે આપ્યા કઈ રીતે ? મને લાગે છે એનો પ્રૉબ્લેમ સેન્સરિ મેમરી સાથે હશે. અથવા તો શૉર્ટ ટર્મ મેમરી સાથે.

સાયકોલોજીમાં મેમરી એટલે એવી ક્ષમતા કે કોઈ માહિતી કે અનુભવનો સંગ્રહ કરવો, એને જકડી રાખવો,  અને જરૂર પડે ફરી યાદ કરવો એવો સરળ અર્થ કરી શકાય.

યાદશક્તિ આપણે શબ્દ વાપરીએ છીએ, સ્મરણ શક્તિ કે મેમરી પાવર જેના  ત્રણ સ્ટેજ હોય છે.

Encoding – માહિતી કે અનુભવ મળવા, એમનું પૃથ્થકરણ અને મળેલી માહિતી કે અનુભવોનું કૉમ્બિનેશન થવું.

Storage – Encoded ઇન્ફરમેશનનું  કાયમી રિકૉર્ડ થવું.

Retrieval – સ્ટોઅર થએલી માહિતી જરૂર પડે બહાર આવવી, રિકૉલ કે રેકલેક્શન પણ કહેવાય.

સેન્સરિ મેમરીમાં કોઈ વસ્તુ જોઇને તત્ક્ષણ યાદ રહી જાય,પણ સાવ નજીવા સમય માટે. એકાદ સેકન્ડમાં જોઇને યાદ રાખવાનું હોય પણ આ મેમરી બહુ લાંબી ટકે નહિ. શૉર્ટ ટર્મ મેમરીમાં થોડો સમય કે થોડા દિવસ જરૂર પૂરતું યાદ રહે પણ પછી ભુલાઈ જાય. દા.ત. ફોન નંબર બદલાઈ જાય તો જુનો નંબર ભુલાઈ જાય. લૉંગ ટર્મ મેમરીમાં આખી જીંદગી કે ઘણા લાંબા સમય સુધી વસ્તુ યાદ રહે.

સેન્સરિ અને શૉર્ટ ટર્મ મેમરી થોડા સમય માટે રહેતી હોય છે. જ્યારે લૉન્ગ ટર્મ મેમરીમાં  વસ્તુઓ વિપુલ પ્રમાણમાં અને ખૂબ લાંબા સમય સુધી યાદ રાખી શકાતી હોય છે એની કોઈ લિમિટ હોતી નથી. દા.ત. કોઈ ફોન ઉપર વાત કરતું હોય અને કોઈ બીજી વ્યક્તિનો ફોન નંબર આપે તો ઘણાને તત્ક્ષણ યાદ રહે પછી ભુલાઈ જતો હોય છે, અને ઘણીવાર લખી લેવો પડતો હોય છે, થોડા પુનરાવર્તન પછી થોડો સમય યાદ રહે, અને વારંવાર રિપીટેશન થાય તો કાયમ યાદ રહી જાય. વારંવાર રટણ કરવાથી શૉર્ટ ટર્મ મેમરી લૉન્ગ ટર્મ મેમરીમાં બદલાઈ જાય.

શૉર્ટ ટર્મ મેમરી Frontal lobe ખાસ તો પ્રિફ્રન્ટલ કૉર્ટેક્સમાં જમા થતી હોય છે, જ્યારે લૉન્ગ ટર્મ મેમરી લગભગ આખા બ્રેનમાં જમા રહેતી હોય છે. બ્રેનનો  Hippocampus વિભાગ મેમરી માટે જવાબદાર હોય છે. ટ્રેનિંગ અને ટેસ્ટ વચ્ચે પૂરતી ઊંઘ લેવી સ્મરણ શક્તિ માટે ખૂબ લાભદાઈ હોય છે. માટે પરીક્ષા સમયે  વાંચીને મજાની ઊંઘ ખેંચી નાખવી સારી.

સ્મરણ શક્તિ માટે એક તો રસનો વિષય હોય તો જલદી અને લાંબા સમય સુધી યાદ રહે. અને જરૂર નાં રહે તો પણ વસ્તુઓ ભુલાઈ જતી હોય છે. નાનપણમાં રિપીટેશન રટણ કરી કરીને મને ગીતાના બે અધ્યાય પુરા યાદ હતા, પછી પઠન બંધ થઈ ગયું, અને પછી  જરૂર રહી નહિ તો આજે ભૂલી ગયો છું. જ્યારે રસની ઐતિહાસિક વાતો અને જુનું વાંચેલું સાહિત્ય આજે વર્ષો પછી પણ પેટાળમાંથી બહાર આવી જાય છે.

મૂળ માનવ જાતમાં પુરુષો શિકાર કરનારા હતા, અને સ્ત્રીઓ ઘરકામ અને ફૂડ ગેધરિંગ કરનાર હતી. શિકાર કરવામાં એક વેલ પ્લૅનિંગ અને ગણિત જોઈએ. લાગણી ઓછી જોઈએ. જ્યારે સ્ત્રીઓના ભાગે બાળકને જન્મ આપવાનું અને ઉછેરવાનું હતું, અબોલ બાળકની લાગણી અને જરૂરિયાત સમજવાની હતી, માટે એમના લાગણી તંત્ર ખૂબ ખીલ્યા. પુરુષોના ગણિત અને તર્ક તંત્ર ખૂબ ખીલ્યા. આમ અમુક બાબતમાં પુરુષોની મેમરી ખૂબ સારી હોય તેમ કેટલીક બાબતોમાં સ્ત્રીઓની મેમરી ખૂબ સારી હોય. એટલે સ્ત્રીઓ અમુક વસ્તુઓ યાદ રાખી શકાતી નાં હોય તે સ્વાભાવિક હોય છે.

અમારા એક મહિલા સગાને કાયમ દૂધ ઊભરાઈ જાય. એમને દૂધ ગેસ પર મૂક્યા પછી યાદ ના રહે. હવે એમની સાથે કોઈ ઉગ્ર ચર્ચા કરી જુઓ તો ૩૦ વર્ષ પહેલા કશું થયું હોય, કોઈ મન દુખ થયું  હોય ગણી ગણીને યાદ કરી બતાવે. હાલની ચર્ચાનો એ વિષય પણ હોય નહિ, છતાં એટલી જૂની વાતો યાદ આવી જાય કે કોઈ પુરુષને ભાગ્યેજ યાદ રહી હોય. વાત આડે પાટે ચડી જાય , કારણ એમનું લાગણી તંત્ર. સ્ત્રીઓ સાથે આ પ્રૉબ્લેમ ખાસ થતો હોય છે.

મનોવૈજ્ઞાનિકોએ લૉન્ગ ટર્મ મેમરીના બે ભાગ પાડેલા છે. Declarative (explicit) અને Procedural (implicit). ડીક્લેરેટીવ મેમરીના વળી જુદા જુદા પેટા વિભાગ પાડેલા છે. semantic memory,episodic memory . મેમરીના બીજા પણ નામ આપેલા છે. Autobiographical memory, Visual memory.ટૂંકમાં કૉન્શ્યસ રહીને યાદ રાખવું અને કરવું પડતું હોય તેને ડેકલેરેટિવ મેમરીમાં અને અચેતનરૂપે રટણ અને રિપીટેશન કરીને યાદ રાખવામાં આવતી વસ્તુઓને Procedural (implicit) મેમરીમાં સામેલ કરવામાં આવે છે.                        

સારા શ્રોતા બનવું શીખવાની પ્રક્રિયાનો મહત્વનો ભાગ હોય છે. શાંતિથી સાંભળો તો ઘણી બધું વસ્તુ યાદ રહી જાય. સ્ત્રીઓમાં સાંભળવાનું ઓછું બોલવાનું વધુ હોય છે તેવું મારું માનવું અને અનુભવ છે. બીજું યાદ રાખવાની પણ થોડી પડી હોવી જોઈએ, ચિંતા હોવી કે દરકાર હોવી જોઈએ. બાકી જે સ્ત્રી સવાલનાં જવાબ આપીને ૫૦ લાખ જીતી જતી હોય તેને પાણી લાવવાનું યાદ નાં રહે તે વાત હસવા જેવી નથી લાગતી? મૂળ વાત તે ધ્યાનથી સાંભળતી જ નથી. કે એનું મન તે સમયે બીજે હોય છે.  Declarative (explicit) મેમરી માટે હિપોકૅમ્પસ અને ઇમોશનલ મેમરી માટે Amygdala જવાબદાર હોય છે. હિપોકૅમ્પસને ઈજા થાય તો યાદ શક્તિ ઓછી થઈ જાય. અલ્ઝાયમર અને પાર્કિન્સન જેવા રોગો પણ સ્મૃતિ ભંગ માટે જવાબદાર હોય છે.

શૉર્ટ ટર્મ મેમરી લૉસ માટે ડિસઑર્ગનાઇઝ્ડ થિંકિંગ અને એવું બિહેવ્યર પણ જવાબદાર બની શકે. મૅથમટિકલ કપૅસિટિ ઓછી થઈ જાય તો પણ આવું બને. તણાવ, ચિંતા, સ્ટ્રેસ, બેચેની અને ડર પણ શૉર્ટ ટર્મ મેમરી લૉસનું કારણ બનતું હોય છે. ઘણીવાર તો યાદ રાખવાનું જરૂરી નાં હોય તો પણ એવી વસ્તુઓ શૉર્ટ ટર્મ મેમરીમાંથી બહાર ફેંકાઈ જતી હોય છે. સિગારેટ, ઍલકહૉલ, કેફી ડ્રગ્ઝ અને ઢંગ ધડા વગરની જીવન શૈલી પણ મેમરી લૉસનું કારણ હોય છે.  વિટામિન B અને C સ્મરણ શક્તિ માટે સારા ગણવામાં આવે છે. સ્મરણ શક્તિ મૈયાની જય હો!!!!

 

સ્મૃતિ જનમ પહેલાની

હિંદુ ધર્મ કે વિચારધારામાં પુનર્જન્મની ધારણા છે, તેવી બીજા ધર્મોમાં નથી. ઘણાને એમના જુના જન્મો યાદ છે તેવો દાવો પણ કરતા હોય છે. કોઈ મજબૂત પુરાવા મળતા નથી છતાં હજારો વર્ષથી આવી માન્યતા ચાલે જ રાખતી હોય છે. પુરાણોમાં પણ આવી અનેક વાર્તાઓ આવતી હોય છે કે ફલાણા આગલાં જનમમાં આમ હતા અને બીજા જન્મમાં આવી રીતે જનમ લીધેલો. આમ આ માન્યતાને બળ મળ્યા કરતું હોય છે. કોઈ વિવેકાનંદ કે શંકરાચાર્ય જેવા ખૂબ નાની ઉંમરમાં ઘણું બધું અચીવમન્ટ કરીને મૃત્યુ પામતા હોય ત્યારે યોગભ્રષ્ટ આત્મા હશે, ગયા જનમનું બાકી કામ પૂરું કરવા આવ્યા હશે તેવું કહેવાતું હોય છે.

પુનર્જન્મ હોય છે કે નહિ તે ચર્ચા બાજુ ઉપર મૂકીએ પણ આપણા પૂર્વજોની કોઈ સ્મૃતિ વારસામાં આપણને મળે ખરી? આનો જવાબ બ્લેક ઍન્ડ વાઇટમાં નહીં મળે. મેમરી કયા અર્થમાં લઈએ છે તે ઉપર આનો ઉત્તર આધાર રાખે છે. આપણને આપણા ત્રીજી ચોથી પેઢીના પરદાદાના લગ્નપ્રસંગની યાદ આવવાની નથી. છતાં આપણા પૂર્વજોની થોડી સ્મૃતિઓ આપણને વારસામાં મળે છે તેની શક્યતા જરૂર છે.

વિવિધ પ્રકારની સ્મૃતિમાં ઉપર જોયું તેમાં ત્રણ પ્રકાર મુખ્ય છે.

૧) Episodic memory– ઍપિસૉડિક- પ્રાસંગિક કથાત્મક, કથા ઘટકોવાળું

કોઈ ખાસ પ્રસંગની યાદગીરી બ્રેનમાં સ્ટોઅર થઈ જાય તેને પ્રાસંગિક સ્મૃતિ પણ કહી શકાય.  દાખલા તરીકે ગઈ સાલ કોઈ બર્થડે પાર્ટીમાં ગયા હોઈએ તે ઇવેન્ટની મધુર યાદોને ઍપિસૉડિક મેમરી કહી શકાય.

૨) Semantic memory – કોઈ ખાસ પ્રકારની માહિતી જે સત્ય હોય તેને semantic મેમરી કહેવાય છે. જેમકે મનમોહનસિંહ ભારતના વડાપ્રધાન છે અને ઓબામા અમેરિકાના પ્રેસિડન્ટ છે. કે ૩૧ પ્રાઇમ નંબર છે. અંતમાં

૩) Procedural memory – કાર્યપ્રણાલિ-કામ કરવાની પદ્ધતિ,કંઈક કરવું, બલ્બ બદલવો કે તરવું કઈ રીતે કે સાઇકલ કઈ રીતે ચલાવવી… Procedural memory વારસામાં મળી શકતી હોય છે.

હું એક કૅન્ગરૂ(કાંગારુ) વિષે ડૉક્યુમેન્ટરી  જોતો હતો. હવે કાંગારુના બચ્ચા અવિકસિત અધૂરાં પેદા થતા હોય છે. પછી માતાના પેટ આગળ એક કોથળી હોય છે તેમાં મોટાં થતાં હોય છે. હવે માદા કાંગારુ એક બચ્ચાને જનમ આપે છે તે અવિકસિત એકાદ આંગળીનું બચ્ચું માતાની યોનિમાંથી બહાર નીકળતા વેત તરત જ માતાની રુવાંટી પકડતું પકડતું ઉપર તરફ ગતિ કરવા લાગે છે. મને નવાઈ લાગી આ સાવ અવિકસિત માંસના લોચા જેવું હજુ આંખો જેવું કશું દેખાતું નથી સીધું ગરોળી ચડે તેમ ઉપર ચડીને પેલી કોથળીમાં ગરક થઈ ગયું. એને કોણે શિખવાડ્યું કે અહીં ઉપર એને રહેવા માટેની કોથળી તૈયાર છે? પણ એની માતા પણ આવી જ રીતે ઉપર ચડીને પેલી કોથળીને શરણે થઈ ગઈ હશે તે સ્મૃતિ આ બચ્ચાને માતાના જિન્સ દ્વારા વારસામાં મળી છે, માટે તે પણ જન્મતાવેંત ઉપર ચડીને કોથળીમાં સમાઈ ગયેલું.

માનવબાળ જન્મે છે તેને માતાનું સ્તનપાન કઈ રીતે કરવું કોણ શીખવે છે ? છતાં બલ્બ બદલવાનું બાળક પિતાને બલ્બ બદલાતાં જોઇને શીખતું હોય છે. તાજાં જન્મેલા બાળકોને તરવાનું શીખવવું પડતું નથી તેના પ્રયોગો જર્મનીમાં થયેલા છે. એટલે કામ કરવાની પદ્ધતિની કઈ સ્મૃતિઓ આપણે વારસામાં લઈને પેદા થઈએ છીએ તે સંશોધનનો વિવાદાસ્પદ વિષય છે.

હવે સવાલ એ છે કે episodic and semantic મેમરી તમે વારસામાં આપી શકો કે નહિ? સિમૅન્ટિક એટલે શબ્દોના ફેરફારને લગતી ભાષાશાસ્ત્રની શાખા, અર્થનિર્ધારણ શાસ્ત્ર, અભિધાશાસ્ત્ર. કેટલાં જાણીતાં તત્વચિંતકો, મનોવૈજ્ઞાનિકો અને ભાષાશાસ્ત્રીઓનું માનવું છે કે  સિમૅન્ટિક મેમરી કાયમ શીખીને પ્રાપ્ત કરી શકાતી નથી. અમુક આવી સ્મૃતિઓ વારસાગત મળતી હોય છે. ન્યાય અને નૈતિકતા વિષે વગર શીખે આખી દુનિયામાં બધે એક જ જાતના સરખાં ખ્યાલો હોય છે.

સ્વિસ મનોવૈજ્ઞાનિક અને સાઇકોથેરપિસ્ટ Carl Gustav Jung,  analytical સાઇકૉલોજીનાં શરુ કરનાર એમની collective unconscious થીઅરી માટે જાણીતા છે. સરળ ભાષામાં કહીએ તો સામૂહિક અચેતન કે આખા સમૂહનું કે સામુદાયિક મનસ કહી શકાય. કલેક્ટિવ અન્કૉન્શયસ, વ્યક્તિગત અચેતન કરતા ભિન્ન એવી સ્મૃતિઓ છે જે કૉમન પૂર્વજો દ્વારા મળેલી વ્યક્તિગત પણ સર્વસામાન્ય હોય છે. દાખલા તરીકે આગમાં હાથ નાખીએ તો દાઝી જવાય તે સર્વસામાન્ય સ્મૃતિ છે જે બધાને ખબર જ હોય છે.

સામૂહિક અચેતન વિષે ભલે આપણે સભાન ના હોઈએ પણ આગ નજીક જતા દુનિયાના દરેક માનવીને એકસરખી જ લાગણી થતી હોય છે. આપણા પૂર્વજો જાણતા હતા કે આગ નજીક જવું ભયજનક છે. અને તે સ્મૃતિઓ આપણને વારસામાં મળતી હોય છે જીન દ્વારા..આધુનિક જમાનામાં Noam Chomsky નામના ભાષાશાસ્ત્રી સિમૅન્ટિક મેમરીનાં સમર્થનમાં યુનિવર્સલ ગ્રામર શબ્દ વાપરતા સમજાવે છે કે The universal grammar can be understood as an inherited network of language structures that is common to all of us. વૈશ્વિક વ્યાકરણ ભાષા ગમે તે હોય એક જ હોય છે.

બ્રેનમાં cerebral cortex ની અંદર ન્યુઅરલ નેટવર્ક તરીકે સ્મૃતિઓનો સંગ્રહ થતો હોય છે. બ્રેન ખાસ પ્રકારની પ્રોટીન બનાવતું હોય છે જે ન્યુરૉન્સને ભવિષ્યમાં કમ્યુનિકેશન માટે કામ લાગે. કશું શીખતી વખતે આ પ્રોટીન બનતા હશે કે કામ કરતા હશે તે વખતે એમાં કોઈ જિનેટિક કોડ તરીકે બધું છપાઈ જતું હશે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. એટલે સિમૅન્ટિક મેમરી જિનેટિક કોડ તરીકે પૂર્વજો દ્વારા વારસામાં મળતી હોવી જોઈએ. જો કે વૈજ્ઞાનિકોને આના વધુ રહસ્યો હજુ શોધવાના બાકી છે.

જન્મથી અંધ લોકોમાં દ્ગષ્ટિને લગતી કોઈ છબી એમના બ્રેનમાં હોવી ના જોઈએ તે સ્વાભાવિક છે. છતાં એવા પુરાવા મળ્યા છે કે અમુક જન્મથી અંધ લોકો ચક્ષુગમ્ય કલ્પના કરી શકતા હોય છે. કદાચ એવું બને કે એમના માતાપિતા તો દેખતાં હોય છે ત્યારે અમુક દ્ગષ્ટિ વિષયક સ્મૃતિઓ એમના અંધ સંતાનને જિનેટિક કોડ તરીકે જિન્સમાં આપી ચૂક્યાં હોય એટલે ભલે અંધ હોય પણ ચક્ષુગમ્ય અનુભૂતિ માણી શકતા હોવા જોઈએ.

એટલે આપણો પુનર્જન્મ થતો ના હોય પણ આપણા અનુભવો, ગુણો, વિશિષ્ટ શક્તિઓ કે આવડત અને મેમરી આપણે જિનેટિક કોડ તરીકે વારસદારોમાં ટ્રાન્સ્ફર કરતા હોઈએ એટલે એવું લાગે કે આપણો પુનર્જન્મ થાય છે, એમ એ ધારણા મજબૂત બનતી જાય તેમાં કોઈ નવાઈ નહિ.. ઘરમાં કોઈ દાદા વર્ષો પૂર્વે મૃત્યુ પામ્યા હોય અને એ જ ઘરમાં કોઈ નવા બાળકનો જન્મ થાય તે મોટું થાય ત્યારે એની ગતિવિધિઓમાં પેલા દાદાના વર્તન જેવું સામ્ય જોઈ ઘણા બોલી ઊઠતા હોય છે કે દાદા ફરી જન્મ્યા લાગે છે.દાદા એમની વિશિષ્ટ આવડતોની મેમરી એમના જિનેટિક કોડ દ્વારા પૌત્રમાં આપી ચૂક્યા હોય અને પૌત્રમાં એના ચમકારા દેખાતા હોય તો પછી દાદા ફરી જન્મ્યા હોય તેવું લાગે જ ને?

એવું નથી લાગતું કે અલ્લારખાં સાહેબે એમની તમામ  Procedural Memories જિનેટિક કોડ દ્વારા ઝાકીરહુસેનમાં ભરી દીધી છે? અને ઝાકીરહુસેનનાં નાના ભાઈ તો વળી તબલા શું, પ્લાસ્ટીકની ડોલ આપો, ડબ્બા આપો કે થાળી ચમચી આપો ગમે તે આપો એમનું અદ્ભુત કૌશલ્ય બતાવતા જ રહે છે.

આનો એક અદ્ભુત પૂરાવો મને બ્લૉગ જગતમાં વડીલ મિત્ર જુગલભાઈના લખેલા એક લેખ જે અંગત અનુભવ આધારે છે તેમાં જણાયો.

જુગલકિશોર વ્યાસ પોતે ગુજરાતી ભાષાના પ્રાધ્યાપક રહી ચૂક્યા છે એમનો બ્લૉગ નેટ ગુર્જરી પોતે એક શાળા જ છે. એમણે મારો સ્મૃતિ જનમ પહેલાની કદાચિત્ વાંચ્યો હશે. બહુ વ્યસ્ત માણસ છે માટે ના પણ વાંચ્યો હોય. એમણે તે લેખમાં બચપણનાં અનુભવો લખ્યા છે. જુગલકિશોર હજુ સ્કૂલે ગયા નથી. શાળાનું પગથિયું ચડવાને હજુ વાર છે. કોઈ વડીલ સાથે શહેરના રેલવે સ્ટેશને બેઠાં હશે. ત્યાં કોઈ દુકાનનું ચીતરેલું પાટિયું એમને આકર્ષી ગયું. ઘેર આવીને કક્કો બારાખડી શીખ્યા વગરના બાળ જુગલે ‘કમલબિટરખસ’ એવું લખી બતાવેલું. કક્કો શીખ્યા વગરનું એ પહેલું લખાણ કઈ રીતે લખી શક્યા?

બ્રેનમાં cerebral cortex ની અંદર ન્યુરલ નેટવર્ક તરીકે સ્મૃતિઓનો સંગ્રહ થતો હોય છે. બ્રેન ખાસ પ્રકારની પ્રોટીન બનાવતું હોય છે જે ન્યુરૉન્સને ભવિષ્યમાં કમ્યુનિકેશન માટે કામ લાગે. કશું શીખતી વખતે આ પ્રોટીન બનતા હશે કે કામ કરતા હશે તે વખતે એમાં કોઈ જિનેટિક કોડ તરીકે બધું છપાઈ જતું હશે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. એટલે સિમૅન્ટિક મેમરી જિનેટિક કોડ તરીકે પૂર્વજો દ્વારા વારસામાં મળતી હોવી જોઈએ. આવો જિનેટિક કોડ જુગલભાઈને પિતા દ્વારા જિન્સમાં મળ્યો જ હોય એનું ડીકોડીંગ જુગલભાઈના બ્રેને કરી નાખ્યું હશે. અને કક્કો શીખ્યા વગરના બાળ જુગલે પેલાં બૉર્ડમાં લખેલો શબ્દ લખી નાખ્યો. લાઇફનું પહેલું કૉપિ પેસ્ટ…

બીજો દાખલો.. એમના પિતાજી સાહિત્યના શોખીન હતા. શાસ્ત્રો બહુ વાંચેલા અને ‘હવેલી સંગીત’નાં જાણકાર હતા. એક તો સંગીતજ્ઞનાં બ્રેઈન બીજા કરતા થોડા મોટા હોય. મેટ્રિક થતા પહેલા જુગલભાઈને લાઇબ્રેરીમાંથી કોઈ સર્જકનું શીખરીણી છંદમાં લખેલું કાવ્ય ખુબ ભાવી ગયું હશે. તેવા જ ભાવવાળું એક કાવ્ય લખીને પિતાશ્રીને બતાવ્યું. તો પિતાશ્રીએ એને વખાણ્યું. જુગલભાઈએ વટભેર કહી દીધું શીખરીણી છંદમાં છે. પિતાશ્રીએ જવાબમાં કહ્યું ખોટી વાત છે. શીખરીણી છંદમાં નથી. ત્યાં બેઠેલા ને એમણે શીખરીણી છંદ વિશેનું જ્ઞાન તત્કાલીન આપ્યું. ફક્ત અડધો કલાકમાં જુગલભાઈ શુદ્ધ શીખરીણીમાં રચના લઈને પિતાશ્રી સમક્ષ હાજર થઇ ગયા. એમનાં પિતાશ્રીએ આ જગ્યાએ બેચાર કલાક બગાડીને જો મને શીખરીણી છંદ શીખવ્યો હોત તો પણ હું એ છંદમાં કવિતા રચી શક્યો ના હોત તે હકીકત છે. અહીં સિમૅન્ટિક મેમરીનું ડીકોડીંગ થયેલું સ્પષ્ટ દેખાય છે.

બધા  હોશિયાર કવિતા કેમ લખી શકતા નથી? અને બધા કવિઓ છંદમાં કવિતા કેમ લખી શકતા નથી ? હા તમે પૂરતો રસ લઈને મહેનત કરો તો અવશ્ય કવિતા તે પણ છંદમાં લખી શકો. પણ અડધો કલાકમાં શીખરીણી શીખી અને એમાં જ કવિતા રચી નાખવી તે પેલી સિમૅન્ટિક મેમરીનું ડીકોડીંગ વધુ લાગે છે જે પિતાશ્રી દ્વારા જિન્સમાં મળેલી જ છે. હવે તમે જો રસ લઈ મહેનત કરી છંદમાં કવિતા કરવાનું શીખી જાવ તો શીખતી વખતે જે ન્યુઅરલ નેટવર્ક બનતું હશે તે સ્મૃતિઓ જિનેટિક કોડ વડે તમારા બાળકમાં જરૂર જવાની.. સિમૅન્ટિક મેમરી કાયમ શીખીને પ્રાપ્ત કરી શકાતી નથી તેવું વૈજ્ઞાનિકો કહેતા જ હોય છે.

મારા પિતાશ્રી વકીલ હતા ને વાંચવાના ખૂબ શોખીન હતા પણ સાહિત્ય કરતા ફિલૉસફી બહુ વાંચતા. એ જમાનામાં છોકરાઓના હાથમાં ગુલશનનંદાની વેવલી પ્રેમકથાઓની પૉકેટ-બુક રહેતી ત્યારે મારા હાથમાં સસ્તી પડે માટે ઓશોની કહેલી શબ્દોમાં ઊતારેલી પૉકેટબુક રહેતી. અમારી તો સાત પેઢીમાં કોઈએ કવિતા શું જોડકણા પણ નહિ લખ્યાં હોય. લગભગ મારા દાદાશ્રીની પેઢીથી તલવાર ચલાવવાનું બંધ થયું હશે. બાકી આગળની બધી પેઢીઓ તલવાર ચલાવવાનો મુખ્ય બિઝનેસ કરતી હતી. હહાહાહાહાહાહા!!!

ટૂંકમાં સિમૅન્ટિક મેમરી વારસામાં મળી શકતી હોય છે તેનો પૂરાવો અહીં જુગલભાઈના દાખલા ઉપરથી મળે છે. અમેરિકામાં જન્મેલાં બાળકો માટે ગુજરાતીમાં બોલવું અઘરું પડતું હોય છે. ઘરમાં બોલાતું હોય તેટલું જ ગુજરાતી આવડે. તે પણ બોલતા લખતાં નહિ. અમેરિકામાં વસતા મિત્ર ચિરાગ પટેલે એમના દીકરાને ભારતમાં વડોદરા ભણવા મૂક્યો છે. અમેરિકામાં જન્મ્યા અને ૧૧ વર્ષ ઉછર્યા છતાં આ વર્ષે વડોદરા ભણવાનું શરુ કર્યું તો ગુજરાતી વિષયમાં ૧૦૦/૧૦૦ ગુણ લાવ્યો અને હિન્દીમાં લખી/વાચી/કવિતા ગોખી શકવાની ક્ષમતા પ્રગટી વળી, આ જ ઉંમરથી qbasicમાં કમ્પ્યુટરનાં પ્રોગ્રામ લખતો થઇ ગયો છે.આપણા પૂર્વજો બ્રેન વિષે ખાસ જાણતા નહોતા તો આવા દાખલાઓ પરથી પુનર્જન્મ વિષે ધારણા બંધી લેતા હોવા જોઈએ. હકીકતમાં આપણી હયાતીમાં જ આપણો પુનર્જન્મ આપણા બાળકો રૂપે થઈ જતો હોય છે.

 

રાસાયણિક તત્વજ્ઞાન-૨, રુદન. (Hard Truths About Human Nature)

) રુદન, આંસુ, રડવુંimagesCAS3KD5M

માનવજાતનું બાળક એટલે દુનિયાનું સૌથી નાજુક સહેજમાં ભાંગી પડે તેવું જીવબીજ છે. હરણનું બચ્ચું જન્મ્યા પછી બેત્રણ કલાકમાં ઊભું થઈ જતું હોય છે અને બીજા દિવસ એના ટોળા સાથે દોડતું થઈ જતું હોય છે. હાથીનું મદનિયું એના પહેલું  ભોજન મેળવતા પહેલા તો ચાલતું થઈ જાય છે કે બે ડગલા ચાલ્યા વગર એની માતાનું સ્તન એના નસીબમાં હોતું નથી. કાચિંડો જન્મે એટલે કે ઈંડામાંથી બહાર નીકળે એટલે તરત દોડતો થઈ જાય છે કે પૂરતી ઝડપે દોડે નહિ તો એના માબાપ જ ખાઈ જવા તૈયાર ઉભા હોય છે. માનવબાળ જન્મતા સાથે આવી કોઈ સર્વાઇવલ સ્કિલ શીખીને પેદા થતું નથી સિવાય કે મદદ માટે રડવાનું અને અનુભવે શીખવાનું.

તાજું જન્મેલું બાળક રડે છે કે તે દૂધ શું છે જાણતું નથી. તે રડે છે કારણ લો બ્લડ શુગરનાં કારણે બ્રેન ઇમર્જન્સી અલર્ટ સિગ્નલ cortisol રિલીસ કરે છે. દરેક પ્રાણીઓમાં cortisol સર્વાઇવલ વર્તણૂક ઊભી કરતું હોય છે. જેવું કે ખોરાકની શોધ કરવી કે પ્રિડેટર જોઇને ભાગવું. માનવ જન્મજાત સર્વાઇવલ નૉલેજ લઈને પેદા થતો નથી. આપણે જન્મીએ છીએ પુષ્કળ ન્યુરૉન્સ વચ્ચે થોડા કનેક્શન લઈને. એટલે બાળક રડવા સિવાય કઈ કરી શકતું નથી.

કલ્પના કરો, સર્વાઇવલ જોખમમાં છે અને કશું કરી શકવા સક્ષમ નથી, અને આ સ્થિતિમાં જ આપણે જન્મીએ છીએ. સારા નસીબે રુદન કામ કરી જતું હોય છે. મદદ આવી મળે છે. માતા આવી જાય છે બાળકને દૂધ પીવા મળી જાય છે, ખોરાક મળી જાય છે. બાળક રાહત અનુભવે છે. સારું અનુભવે છે. સુખનો આવિર્ભાવ થાય છે. બ્રેન અહી શીખવાનું શરુ કરે છે, ધીમે ધીમે રાહત અને સુખની અપેક્ષા માટે રુદન જાગૃત સંદેશા વ્યવહારનું સાધન બની જાય છે.

ચાલો રડવાથી ભૂખ તો મટી ગઈ એવું શીખ્યા કે તરત નવી નવી જુદી જુદી ઇમર્જન્સી ઊભી થતી રહેવાની જ છે. કે જે વ્યક્તિ(માતા) તમારો સ્ટ્રેસ દૂર કરે છે તે ક્યારેક અદ્રશ્ય પણ થઈ જતી હોય છે. કે પડી જવાય તો વાગે છે અને દર્દ થાય છે. દર્દ થાય એટલે cortisol  સ્ત્રાવ થવાનો અને તમે શું કરી શકો? ખાલી રડવાનું કરી શકો,

એટલે સૌ પહેલો અનુભવ માનવજાતનો એ છે કે જો કોઈ તમને સાંભળે નહિ, તો મરી ગયા સમજવાનું, કોઈ સાંભળે નહિ, આપણને કોઈ ધ્યાનમાં  લે નહિ તો બચવું મુશ્કેલ સમજવુ અને એમાથી બચવા રડવું એ માનવ બાળકનો સૌ પહેલો અનુભવ સૌથી પહેલી સર્વાઇવલ ટેક્નિક છે. આ અનુભવ પાયાની પહેલી ઈંટ છે. બાળક આ કોઈ મનન ચિંતન કરીને વિચારતું નથી તે અનુભવ કરે છે શબ્દ વગરની ન્યુરોકેમિકલની ભાષા વડે. એટલે આપણને કોઈ સાંભળે  અને ધ્યાનમાં લે તે જીવનનો આધાર બની જાય છે.

સમય જતા પુખ્ત બનતા જતા cortisol સ્ત્રાવની પ્રતિક્રિયા જાતજાતની ગૂંચવાડાવાળી બનતી જતી જતી હોય છે. પુખ્ત માનવને આંતરિક નિર્બળતા કે અસલામતીનું ભાન સભાનપણે હોતું નથી. આદિમ આંતરિક નિર્બળતા ક્યાંથી આવે છે તે ખબર હોતી નથી. Primal Fragility ની સમજણ મુક્તિદાયક છે

દાખલા તરીકે બાળક ધ્યાન ખેંચવા પહેલું તો રડવાનું કરે. પછી જેમ જેમ મોટું થાય તેમ ધ્યાન ખેંચવા ધમાલ મસ્તી કરે. કોઈ વાર રિસાઈ જાય, ચોપડા ફાડે, કપડા ગંદા કરે, મહેમાન ઘરમાં આવે એટલે એના પ્રત્યે ધ્યાન ઓછું થવાનું સ્વાભાવિક બને તો પેટ ભરેલું હોય છતાં ખાવાનું માંગે, કે ધમાલે ચડી જાય કે સરખી વાત કરવા ના દે. પતિદેવ ઘરમાં આવે કે પત્નીને માથું દુખાવા લાગે. વાસણો પછાડે, બાળકોને વિનાકારણે કે નજીવા કારણે ઝૂડવાનું શરુ થઈ જાય. જાતજાતના અને ભાતભાતના વ્યવહાર નાનામોટા દરેકમાં,  સ્ત્રી પુરુષ દરેકમાં,  વૃદ્ધોમાં પણ જોવા મળશે.

નૅચરલ સિલેકશને માનવબાળને આવું સાવ નાજુક કેમ પેદા કર્યું હશે? માતાના ગર્ભમાં મોટું બ્રેન વિકસ્યું હોય છે. મોટું બ્રેન ધરાવતું અપક્વ શિશુ જલદી બહાર આવી જાય તે ઇચ્છનીય છે. Nervous સિસ્ટમ પૂર્ણ વિકસિત થાય તે પહેલા બાળક જન્મતું હોય છે. આપણી Prematurity ઘણા બધા ફાયદા આપતી હોય છે.

એક તો બાળક ખૂબ નાજુક હોય છે કે જો તે સ્ટ્રૉન્ગ communicator ના હોય તો સર્વાઇવ થાય નહિ. માતા પણ બાળકના સિગ્નલ્સ સમજે નહિ તો એના જીન-DNA  જે એણે બાળકમાં રોપ્યા છે તે બચે નહિ. માનવજાતમાં બેસ્ટ કમ્યુનિકેશન સ્કિલ ખીલી છે તેનું કારણ આ છે. અને સ્ત્રીઓ કેમ વધુ ઇમોશનલ હોય છે તે પણ આના કારણે કે તાજું જન્મેલું બાળક કોઈ ભાષા જાણતું નથી. એના કારણે માતાની જવાબદારી વધી જતી હોય છે. એટલે સ્ત્રીઓ પ્રાઇમરી કેઅર ગિવર હોવાથી એમના બ્રેનના લાગણીઓ દર્શાવતા ભાગ વધુ  સક્રિય બને તે રીતે ઈવૉલ્વ થયેલી હોય છે.

જેને આપણે દિલથી, હૃદયથી વિચારીએ છીએ તેમ કહીએ છીએ તે દિલ એટલે હૃદય નહિ બ્રેનનો ઇમોશન્સ દર્શાવતો ભાગ જ છે. જેની પાસે દિમાગ હોય તેણે સમજી લેવું કે હૃદય એક લોહી ધકેલવાનો પંપ માત્ર છે. ત્યાં કોઈ વિચાર તંત્ર છે જ નહિ.

બીજું આપણે  ખાસ વાતાવરણ માટે પ્રિપ્રોગ્રામ્ડ સર્વાઇવલ ટેક્નિક શીખ્યા વગર જન્મીએ છીએ, એના કારણે બીજા પ્રાણીઓ એમના એરિઅ-ક્ષેત્રફળ બહાર નીકળે તો મૃત્યુ પામતા હોય છે, જ્યાં માનવ જાત ગમે ત્યાં જીવી શકવાની ક્ષમતા મેળવી લેતી હોય છે. ઉત્તર ધ્રુવના આર્ક્ટિક સર્કલમાં પણ ચુચી લોકો રહેતા હોય છે.

પણ આપણે આની ખૂબ મોટી  કિંમત ચૂકવવી પડે છે. આપણે બધું જ શીખવું પડતું હોય છે. બાળક એનો હાથ એના ચહેરા સામે લાવે ત્યારે એને ખબર હોતી નથી કે આ હાથ એની સાથે જોડાયેલો હોય છે, એને અનુભવથી શીખવું પડતું હોય છે કે હાથ એના શરીરનો ભાગ જ છે.

“The bigger a creature’s brain, the longer its childhood”

ઉંદરનું બચ્ચું બે મહિનામાં એના જીવવા પૂરતી સર્વાઇવલ ટેક્નિક શીખી લેતું હોય છે, જે માનવબાળને શીખતા બે દાયકા લાગી જતા હોય છે. માનવ પાસે પુષ્કળ ન્યુરૉન્સ છે માટે એને ખૂબ એનર્જી અને ઑક્સિજન જોઈએ. બાકી સર્વાઇવ થાય નહિ. પણ એના લીધે આપણા પૂર્વજ આધારિત જ્ઞાન પૂરતા આપણે સીમિત રહેતા નથી. આપણા ખુદના અનુભવો વડે પુષ્કળ નૉલેજ મેળવી શકીએ છીએ.

અનુભવો વડે બાળક નવા neural pathways બનાવી શકે છે. બાળક Myelin નામનું  ફૅટી આવરણ ચડાવી ન્યુઅરલ પાથવે બનાવી શકે છે, જેવું કે વિદ્યુત તાર ઉપર ઇન્સ્યુલેશન હોય છે. Myelinated  ન્યુરૉન્સ ખૂબ ઝડપી અને કાર્યક્ષમ હોય છે.

ન્યુબૉર્ન બેબી કરતા બે વર્ષનું બાળક ઓછા ન્યુરૉન્સ વાપરે છે. એના લીધે ઘણી બધી જગ્યાએ ધ્યાન વહેચાવાને બદલે અનુભવો વડે શીખવાનું હોય ત્યાં એક વસ્તુ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકાય. આમ બાળકના નહિ વાપરેલા ન્યુરૉન્સ ક્ષીણ થવા લાગતા જે નવા ન્યુઅરલ પાથવે બનાવ્યા હોય ત્યાં ઇલેક્ટ્રિસિટીનો ફ્લો વધી જતો હોય છે, જે લાભદાયી હોય છે.

બાળક શીખે છે આનંદ અને સુખની ભાવના થકી. બાળકનો તણાવ દૂર થઈ જાય એટલે હૅપી ન્યુરોકેમિકલ સ્ત્રાવ થવા લાગે અને આનંદની લાગણી થવા લાગે. જ્યાં જ્યાં રાહત મળે આનંદ મળે સુખ મળે ત્યાં Dopamine , serotonin અને oxytocin જેવા હૅપી કેમિકલ્સ નવા નવા કનેક્શન બ્રેનમાં કરતા જવાના.

આપણે નવું ન્યુઅરલ નેટવર્ક યુવાનીમાં પણ બનાવી શકવા સક્ષમ હોઈએ છીએ. છતાં બચપણમાં બનાવેલું મૉડલ કાયમ કામ કરતું હોય છે. બચપણની આપણી જરૂરિયાતો મુજબ ગોઠવેલી શીખેલી અપેક્ષાઓ હજુ કાયમ હોય છે. એને બદલવાની ઘણી ઇચ્છા હોય પણ બ્રેન એનો વિરોધ કરતું હોય છે એને નવા ન્યુઅરલ રસ્તા કરતા જે સ્યૂપર હાઈવે બનાવેલો હોય છે તેણે અનુસરવાનું જ ગમતું હોય છે.

કુદરતના બધા ક્રીચરની જેમ આપણે પણ આપણી સર્વાવલ જરૂરિયાતો માટે બહાર ભટકવું પડતું હોય છે. આપણે જે અપેક્ષાઓ ધારણાઓ બાંધી હોય તે જગત કાયમ પૂરી કરે તેવું બનતું નથી હોતું. ઘણીવાર સર્વાઇવલ ખતરામાં પડતું જણાય છે cortisol સ્ત્રાવ વધી જતો હોય છે, અને મદદ માટે આપણે રુદનના નવા પુખ્ત નુસખા શોધી કાઢીએ છીએ. પણ મોટાભાગે કોઈ સાંભળતું હોતું નથી. પત્ની રસોડામાં વાસણો પછાડે છે પણ પતિદેવ છાપામાં માથું નાખીને ચુપચાપ બેઠાં હોય છે. પતિદેવની આવી હરકતો જોઈ પત્ની આંખ આડા કાન કરી દેતી હોય છે, ત્યારે કોઈ નિર્ણય લેતા પહેલા આપણે આપણી આંતરિક નિર્બળતા જાણી લેવી હિતાવહ છે.

સંગીત મનકા દીપ જલાયે.

પંડિત શ્રી યશવંત ભટ્ટ,પંડિત શ્રી જશરાજ,પાર્થિવ ગોહિલ

સંગીત મનકા દીપ જલાયે.

       એવું કહેવાય છે કે મોઝાર્ટ ચાર વર્ષનો હતો અને એણે એની પહેલી સિમ્ફની રચેલી.સંગીત માં રસ તો દરેકને હોય છે.કોઈને પોપ,રોક કે જાઝ મ્યુઝિક  ગમે તો કોઈને ક્લાસિકલ.સંગીતની આવડતમાં ગાવું અને વાધ્યો  વગાડવા બંને આવી જાય.સંગીત એક વિશિષ્ટ આવડત છે.મોઝાર્ટ અને બિથોવન પશ્ચિમની દુનિયાના મહાન ક્લાસિકલ સંગીતજ્ઞ હતા.સંગીત એક ક્રિયેટીવ બ્રેઈનની મહાન આવડત છે.દર્દીને સાજા કરવામાં,સર્જનાત્મકતા અને વિકાસમાં  સંગીત પાવરફુલ સહાયક બનતું હોય છે.સંગીત Dyslexia ,Autism Attention deficit disorder ,Listening disorders વગેરેમાં તથા બીજી માનસિક બીમારીઓ તથા મનોશારીરિક  બીમારીઓમાં ખૂબ કામ લાગતું હોય છે.
      Baroque -a -bye -Baby નામની સીડી બનાવનારાનો  દાવો છે કે એમનું એક મીનીટના ૬૦ બીટ્સ  વાળું સંગીત માતાના હ્રદયના ધબકારા સમકક્ષ હોવાથી બાળકો માટે શાંતિદાયક છે,એની સમપ્રમાણતા બાળકના બ્રેઈનને કાર્ય પ્રવૃત કરે છે અને બાળક ભવિષ્યમાં બુદ્ધિશાળી બને છે.”Play Mozart to your children and they will grow up smart.”ચાલો હું કહુ છું,બાળકોને પંડિત રવિશંકર સંભળાવો અને સ્માર્ટ બનાવો.રવિશંકરની જગ્યાએ બીજા કોઈ પણ ક્લાસિકલ સંગીતકારનું નામ લઈ શકાય.પણ એક યાદ રાખવું જરૂરી કે સંગીતમાં મેથેમેટીકલ પરફેક્શન અને Symmetry હોવી જરૂરી છે.અસ્તવ્યસ્ત ઘોંઘાટને સંગીત કહેવું યોગ્ય નથી.જે સંગીત સાંભળવાથી આનંદ અને હર્ષની લાગણી પેદા થાય તેવી સંગીત સારું પરિણામ લાવનારું, લાભદાયક, સ્વાસ્થ્યવર્ધક, સંરક્ષક, હિતકારી, ફાયદાકારક હોય છે.
             Mariah Carey ગ્લાસ તોડી નાખે તેવા હાઈ નોટ ગાતી હોય ત્યારે મોટાભાગના સાંભળનારા એની ધ્વનિ માત્રા જાણી શકતા નથી.Carey પરફેક્ટ Absolute Pitch ધરાવે છે,આ બહારના કોઈપણ સંદર્ભ વગર ધ્વનિની નિશ્ચિત માત્રા Tone  ઓળખી શકે છે,જેવી રીતે આપણે કલર ઓળખી શકીએ છીએ કે આ લાલ છે કે લીલો છે,તેમ AP એબિલીટી ધરાવનારા સુરની માત્રા ઓળખી શકે છે,જે આપણે સમજી શકતા નથી.જ્યારે કોઈ સંગીતનો રીયાલીટી શો જેવોકે લીટલ ચેમ્પ જોઈએ ત્યારે કોઈ જજ કહે છે કે સુર થોડા હિલ ગયા થા તો આપણને સમજાતું નથી કે કયો સુર હાલી ગયો હતો.આશરે ૧૦,૦૦૦ લોકે એક માનવીમાં આ ક્ષમતા જન્મથી હોય છે,પણ એને બચપણથી સંગીતની તાલીમ મળવી જોઈએ બાકી આ ક્ષમતા વિલીન થઈ જતી હોય છે,આવું Daniel Levitin નામના McGill યુનીવર્સીટીનાં મનોવૈજ્ઞાનિકનું કહેવું છે. પાંચ વર્ષની ઉંમરથી ટ્રેનીગ શરુ થઈ જવી જોઈએ,સામાન્યતઃ ૯ વર્ષ પછી AP ડેવલોપ થવી મુશ્કેલ છે.અંગ્રેજી બોલવાવાળા કરતા મેન્ડરીન અને વિયેતનામી ભાષા બોલનારાઓમાં આ ગુણ વધુ હોય છે.અને એશિયન લોકોમાં જીનેટીકલી આ ક્ષમતા વધુ હોય છે.ભાઈ ભાંડુમાં આ ક્ષમતા સરખી જોવા મળતી હોય છે.આ તો થઈ ગાવાની વાત.મેલોડી પણ એટલીજ મહત્વની હોય છે.
         છેલ્લા ૨૦ વર્ષમાં થયેલા બ્રેઈન ઇમેજિંગ અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે સંગીતની ટ્રેનિંગ બ્રેઈનના ગ્રે મેટરમાં(નર્વ કોષોની સાઇઝ અને સંખ્યા) વધારો કરે છે.દાખલા તરીકે સંગીતકારોના Cerebral કોર્ટેક્ષનાં  auditory, motor, and visual spatial એરિયા..Dr Oliver Sacks એમના  Musicophillia પુસ્તકમાં લખે છે કે અનૅટમિસ્ટ(Anatomist), વિઝ્યુઅલ આર્ટિસ્ટ જેવાકે લેખક,ગણિતજ્ઞ,કવિ કે ચિત્રકારના બ્રેઈન જલદી ઓળખી ના શકે સામાન્ય માનવી જેવા લાગતા હશે પણ સંગીતકારોના બ્રેઈન જોવા માત્રથી તત્ક્ષણ કહી શકતા હોય છે કી સંગીતકારનું બ્રેઈન છે.ગાવાની અને વાદ્યો વગાડવાની ક્ષમતા માટે બ્રેઈનના જે વિભાગ સંલગ્ન થતા હોય છે તે auditory અને motor cortices સખત ટ્રેનિંગ પછી એના આકારમાં બદલાવ થતો હોય છે.
  સંગીતકારોમાં મ્યુઝિકલ મેમરી જ નહિ પણ વર્બલ મેમરી પણ ખૂબ સારી રીતે ખીલેલી હોય છે.વૈજ્ઞાનિકોએ ૨૦ કૉલેજમાં ભણતી છોકરીઓ ઉપર એક પ્રયોગ કરેલો.૧૦ છોકરીઓ બચપણમાં માબાપના કહેવાથી ૭ વર્ષની ઉંમરથી પિયાનો શીખતી હતી,આઠ કરતા વધારે વર્ષો ટ્રેનિંગ લીધેલી કોઈ ગોડ ગિફ્ટેડ મ્યુઝીકની આવડત ધરાવતી નહોતી.અને બીજી ૧૦ છોકરીઓ સંગીત શીખ્યા વગરની હતી.પહેલા આ લોકોને ૨૦ શબ્દો સાંભળવાના હતા,અને પછી બીજા ૪૦ શબ્દો સંભળાવવામાં આવ્યા.આ ૪૦ શબ્દોમાં પેલા જુના ૨૦ શબ્દો રેન્ડમલી ઉમેરેલા જ હતા.હવે આ જુના ૨૦ શબ્દો તરત ઓળખવાના હતા.જે સંગીતની ટ્રેનિંગ લીધેલી છોકરીઓએ બખૂબી બતાવી આપ્યા.આ પરીક્ષણ વખતે MRI મશીન એમના બ્રેઈનનું પણ પરીક્ષણ કરી રહ્યું હતું.જ્યારે શબ્દો ઓળખવાનાં હતા ત્યારે મ્યુઝીકલી ટ્રેઈન્ડ  છોકરીઓના બ્રેઈનનો વિઝ્યુઅલ કોર્ટેક્ષ ભાગ એક્ટીવ થઈ ગયેલો જે બાકીનામાં નહોતો થયેલો.આ વિભાગ વિઝ્યુઅલ એટલે દ્રશ્યમાન માહિતી વિષે વિચાર કરતો હોય છે.હવે સાંભળેલા શબ્દો ફરી યાદ કરવા તે આ વિભાગનું કામ નથી.પિયાનો વગાડવામાં  જુદી જુદી આવડતનો,બ્રેઈનના જુદાજુદા વિભાગનો  ઉપયોગ સંયુક્ત રીતે કરવો પડતો હોય છે,ધ્વનિ માત્રાનું  સાંભળવું રીધમની સેન્સ,રીડિંગ મ્યુઝિક અને કીબોર્ડ ઉપર હાથ ચલાવવા અને આ બધાનું  કોઓર્ડીનેશન.લાંબા સમયની સંગીતની ટ્રેનિંગ બ્રેઈનને નવેસરથી ઘડે છે.
            ઘણા લોકો કામ કરતી વખતે બેક ગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળતા હોય છે.કામની સફળતા માટે જો મ્યુઝિક સાંભળતા કામ કરતા હોવ તો?
૧)જો કામમાં વાંચવાનું,વાત કરવાનું,લખવાનું આવતું હોય તો મ્યુઝિક શબ્દો વગરનું સાંભળવું જોઈએ.અથવા જે શબ્દો કે ભાષા સમજતા નાં હોઈએ તે મ્યુઝિક ચાલે.ખાલી વાદ્ય સંગીત સારું.કારણ શબ્દો સાથેનું મ્યુઝિક બ્રેઈનના લેન્ગવેજ વિભાગને સક્રિય કરી દેતું હોય છે જે આવા કામોમાં દખલરૂપ થાય છે.
૨)નીરવ શાંતિ પણ મ્યુઝીકની ગરજ સારે છે.ઘણીવાર મ્યુઝિક સાંભળવું ધ્યાન  બીજે દોરતું હોય છે જો આવું થતું હોય તો નીરવ શાંતિ ઘણી સારી.આવા સમયે કુદરતી અવાજો પક્ષીઓનો કલરવ સાંભળવો ઘણો સારો.
૩)જે મ્યુઝિક  આનંદ પમાડતું હોય તે જ સાંભળવું.કારણ મ્યુઝિક બ્રેઈનના ઇમોશનલ સેન્ટરને ઉત્તેજિત કરતું હોય છે.દુખી,ગુસ્સાવાળું કે ભય્પમાડે તેવું મ્યુઝિક નેગેટિવ અસર કરતું હોઈ શકે.માટે પોજીટીવ મૂડ બનાવે તેવું મ્યુઝિક સારું.
૪)ફાસ્ટ મ્યુઝિક,ચેતનવંતુ મ્યુઝિક એનર્જી વધારતું હોય છે,માટે એવા કામ કરવાના સમયે ફાસ્ટ મ્યુઝિક સાંભળવું બહેતર બનતું હોય છે.સ્લો,શાંત મ્યુઝિક રીલેક્સ કરતું હોય છે.શાંતિથી કરવાના કામ હોય ત્યારે આવું મ્યુઝિક સાંભળવું લાભદાયી હોય છે.
૫)દર કલાકે પાંચ મિનિટ બ્રેક લેવો જરૂરી હોય છે તેમ આપના કાન પણ બ્રેક લેવા માંગતા હોય છે.મ્યુઝિક પણ સતત સાંભળ્યા કરવું તેના કરતા વચમાં બ્રેક લેવો જરૂરી છે.
    મ્યુઝિક બાળકોના વિકાસમાં મહત્વનો ફાળો ભજવી શકે છે.મ્યુઝિક શીખવાથી એમની બુદ્ધિમત્તા વધી શકે છે.મ્યુઝિક માઈન્ડને શાર્પ બનાવે છે.સર્જનાત્મકતા વધારે છે.મ્યુઝિક બાળકોની આંતરિક શક્તિ વધારે છે.મ્યુઝિક આત્મ નિર્ભરતા,માનસિક સ્થિતિસ્થાપકતા અને આત્મવિશ્વાસ વધારે છે.
  ભારતીય શાસ્ત્રીય સંગીત ધ્યાનની પદ્ધતિ રૂપે શોધાયું છે તેવું ઓશો કહેતા.ભારતમાં ખૂબ નામી સંગીતકારો પેદા થયા છે.સંગીત ધર્મોના વાડાથી પર રહ્યું છે.નામી સંગીતકારો મુસ્લિમ છે.એમની સંગીત સાધના આગળ ધર્મ આડે આવ્યા નથી.ભારતીય શાસ્ત્રીય સંગીતના વિકાસમાં મુસ્લિમ સંગીતકારોનો મહત્વનો ફાળો રહ્યો છે.ગુજરાતમાં પણ ઘણા નામી સંગીતકારો પેદા થયા છે,પણ બીજા રાજ્યોની સરખામણીએ ગુજરાત  શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે પાછળ રહ્યું છે.અને જે થયા છે તેમની તરફ ગુજરાતીઓએ પુરતું લક્ષ આપ્યું નથી લાગતું.ગુજરાતમાં લોક સંગીતની બોલબાલા છે,શાસ્ત્રીય સંગીતની નહિ.ગુજરાતનો ગરબો દેશ વિદેશના સીમાડા વટાવી ચૂક્યો છે.ગુજરાતી જ્યાં જાય તેનો ગરબો સાથે લઈ જવાનો તે હકીકત છે.ગુજરાતમાં શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ બહુ ઓછા પાક્યા છે,પંડિત ઓમકારનાથ ઠાકુર આવા જ એક દિગ્ગજ હતા.
             ગુજરાતના પંડિત યશવંત ભટ્ટનાં ઘેર હાલની શાસ્ત્રીય સંગીતની બહુ મોટી ગણાતી હસ્તી પંડિત જશરાજ આવેલાં.વયોવૃદ્ધ પંડિત યશવંતજી સોફા ઉપર બેઠેલા હતા અને જશરાજજી  નીચે એમના પગ આગળ બેસી ગયેલા  ત્યારે ‘હમ તો આપશે બહોત છોટે હૈ’ એવા એમના શબ્દો હતા.આપણે ગુજરાતી આપણી  આવી મહાન હસ્તિ વિષે બહુ ઓછું જાણીએ છીએ.પંડિત જશરાજ એકવાર વડોદરા આવેલાં.ઓ.એન.જી.સી.કૉલોનીમાં કોઈ હોલમાં એમનો પ્રોગ્રામ હતો.મહારાષ્ટ્રીયન ભાઈઓ બહેનોથી હોલ ગીચોગીચ ભરાઈ ગયેલો,ગુજરાતીઓની હાજરી નગણ્ય દેખાતી હતી.હોલના દરવાજામાં પણ લોકો ભીડ જમાવીને ઉભા હતા. હું અને મારા શ્રીમતીએ  દરવાજામાં ઉભા ઉભા  ત્રણ કલાક પંડિત જશરાજનાં મનમોહક અવાજની મોજ માણેલી.હા!શાસ્ત્રીય સંગીતની આંટીઘૂંટી કે રાગ રાગિણી કે સુર તાલની સમજ મને પડતી નથી પણ એને સાંભળવું ખૂબ પ્રિય લાગે છે.સંગીત મનકા(બ્રેઈન) દીપ જલાયે તે હકીકત છે.

ગરવું ઘડપણ.

American biologist and author Robert Sapolsky.
Image via Wikipedia
ગરવું ઘડપણ.
           ઘરડા દેખાવું કોઈને ગમતું નથી.ઘરડા થવા લાગીએ એટલે ચહેરા ઉપર પ્રથમ કરચલી પડવા લાગે.ઘરડા નહિ દેખાવાનો રોગ દુનિયામાં માસ હિસ્ટીરિયા કરતા વધારે ખતરનાક રીતે ફેલાતો જતો હોય છે.વધતી જતી ઉંમર સામે લડવા માટે યોદ્ધાઓ રીન્કલ ક્રીમ,Collagen ઇન્જેક્શન અને કોસ્મેટીક સર્જરી જેવા શસ્ત્રોનો ઉપયોગ કરતા હોય છે.આ યોદ્ધાઓ ખાલી સ્ત્રીઓ જ હોતી નથી,એમાં પુરુષો પણ સામેલ હોય છે.સ્ત્રીઓ એન્ટી એજિંગ વસ્તુઓ જે વાપરતી હોય છે તેજ વસ્તુઓ દુનિયાના ૬ ટકા પુરુષો વાપરતા હોય છે.
   ચહેરા ઉપર પડતી કરચલી આપણને વારંવાર આપણે નાશવંત છીએ મરણાધીન છીએ તે યાદ કરાવતી હોય છે.હવે જોકે આધુનિક મેડિકલ સાયન્સને પ્રતાપે ઉંમરનો રેશિયો વધ્યો છે.હવે વૃદ્ધો ઘણું સારું એક્ટીવ જીવન જીવી શકે છે.બ્રેઈનની ક્ષમતા અદ્ભુત હોય છે.તે આપણું મોસ્ટ પાવરફુલ અને રહસ્યમય અંગ છે.ગેલેક્ષીમાં અબજો તારાઓ હોય છે તેમ બ્રેઈનમાં અબજો ન્યુરોન્સ હોય છે.ઉંમર વધતા ચિતભ્રમ,સ્મૃતિભંશ,કન્ફ્યૂજન વગેરેનો ડર ખૂબ સતાવતો હોય છે.૮૫ની ઉંમરના ત્રીજા ભાગના લોકો ચિત્તભ્રમથી પીડાતા હોય છે.મૃત્યુના ડર કરતા ચિત્તભ્રમનો ડર વિશેષ હોય છે.બ્રેઈન આખી જીંદગી સારું કામ આપી શકે તેવી તેની ડીઝાઈન  છે જ.છતાં એની ક્ષમતા ઓછી થાય તે પણ સાચું જ છે.છતાં ઉંમર વધતા બ્રેઈન વધુ બગાડે તે પણ જરૂરી નથી.ઘણા લોકો ખૂબ સારું અને લાંબું જીવી શકતા હોય છે.સ્ટેનફોર્ડ યુનીવર્સીટીના ન્યુરો સાયન્ટિસ્ટ Robert Sapolsky Ph.D. કહે છે કે ૩૫ વર્ષ પહેલા અલ્ઝાઈમર રોગ વધતી જતી ઉંમરના કારણે થતો રોગ છે એવું મનાતું હતું ,પણ ઘણા લોકોને માનસિક ક્ષતિનો કોઈ અનુભવ થતો હોતો નથી.એટલે હવે નવેસરથી આની ઉપર વિચારવાનું શરુ થયું છે.  Antonio Damasio, M.D., Ph.D., head of the Department of Neurology at the University of Iowa and author of Descartes’ Error, concurs. “Older people can continue to have extremely rich and healthy mental lives.”  ભારતમાં અલ્ઝાઈમર રોગ દુનિયાના કોઈ પણ દેશ કરતા સાવ ઓછો નહિવત્ જોવા મળે છે તેનું કારણ છે ભારતીયોના ખોરાકમાં રોજ હળદરનો ઉપયોગ.રોજ એક ચમચી હળદર ખાઓ અલ્ઝાઈમરથી દૂર રહો એવું અમેરિકન ડૉક્ટર કહે છે.
       વધતી ઉંમર સાથે બ્રેઈનને ફીટ અને ઝડપી રાખી શકાય છે તેનું રહસ્ય છે પ્રવૃત્તિમાં.મતલબ છે ક્યારેય નિવૃત્ત થવું નહિ.માનસિક રીતે તો કદાપિ નહિ.માનસિક અને શારીરિક પડકારો Cerebral ફિટનેશ માટે ખૂબ મહત્વના છે.નિવૃત્તિ શબ્દ મનની ડીક્ષનેરીમાંથી ભૂંસી નાખવો.મેક આર્થર ફાઉન્ડેશન સફળ વૃદ્ધત્વ વિષે રિસર્ચ કરવા માટે ખૂબ નાણાં ખર્ચી રહ્યું છે.Harvard મેડિકલ સ્કૂલનાં Marilyn Albert ,Ph.D.,  અને એમના Mt.Sinai મેડિકલ સ્કૂલ અને Yale ,Duke ,અને Brandeis યુનીવર્સીટીઓનાં બીજા સાથીઓ સાથે  ૧૧૯૨ વૃદ્ધો જેઓ ૭૦ અને ૮૦ વર્ષની વચ્ચેની ઉંમરના શારીરિક તંદુરસ્ત અને મેન્ટલી ફીટ હતા તેઓનું પરીક્ષણ કરી રહ્યા હતા.બાવીસ જાતના જુદા જુદા પરીક્ષણ કર્યા હતા,એમાં બ્લડ પ્રેશર,શુગર,કોલેસ્ટેરોલ લેવલ,સાયકીયાટ્રીક  સિમ્પ્ટમ,સ્મોકિંગ આવરી લેવાયા હતા.
     આ વૃદ્ધોનું  એકવાર ૧૯૮૮ અને બીજી વાર ૧૯૯૧ એમ બેવાર પરીક્ષણ કરાયું હતું.એમની તંદુરસ્ત માનસિકતા સંબંધી ચાર પરિબળ બહાર આવ્યા એક તો એમના શિક્ષણનું સ્તર,ફીજીકલ એક્ટીવીટી,મજબૂત ફેંફસા અને સ્વ સામર્થ્યની પ્રબળ લાગણી.ચારે પરિબળ બ્રેઈન ફંક્શન બદલવામાં મજબૂત ભાગ ભજવે છે.નિયમિત કસરત બ્રેઈન તરફ બ્લડ ફ્લો વધારે છે જે ન્યુરોન્સની ગીચ શાખાઓ બનાવે છે,જ્ઞાનતંતુઓ વધારે ઉજાગર થાય છે,ન્યુરોન્સ મજબૂત બનાવે છે અને રોગો સામે લડવાની શક્તિ વધારે છે.સહેલી એરોબિક કસરત,લાંબું ચાલવાનું,સમયાન્તરે નિયમિત પગથીયા ચડવા આમાં ખૂબ ફાયદાકારક છે.
           કેટલાક ઉંદરોને પુષ્કળ પ્રમાણમાં રમકડા વચ્ચે ખૂબ રમાડવામાં આવ્યા તો સામાન્ય ઉંદર કરતા એમના બ્રેઈન ન્યુરોન્સ વચ્ચે ૨૫ ટકા કનેક્શન વધુ થયેલા જણાયા,અને બીજા ઉંદરોને ટ્રેડમિલ પર કસરત કરાવતા બ્રેઈનનાં ખાસ ચોક્કસ ભાગમાં રક્તવાહિનીઓમાં વધારો થયો હતો.
     એજ્યુકેશન બ્રેઈન ફંક્શન તીવ્ર કરતુ હોય છે.સ્માર્ટ લોકો વધારે ન્યુરોન્સ સાથે લાઇફ શરુ કરતા હોય છે.જે લોકોની ખોપરીનો બાહ્ય ઘેરાવો ૨૪ ઇંચ કરતા વધુ હોય તેવા લોકોમાં(Big head ) અલ્ઝાઈમર રોગનો,જો થાય તો, પ્રોગ્રેસ ખૂબ ધીમો હોય છે.આવા લોકો પાસે સ્વાભાવિક બ્રેઈન ટીસ્યુ અને ન્યુરોન્સ વધારે હોય છે.સતત ભણતા રહેવું બ્રેઈન માટે સારું છે.આખી જીંદગી ભણતા રહેવામાં વાંધો પણ શું છે?નાની ઉમરથી ભાષાશાસ્ત્રનું સારું  જ્ઞાન,પાછલી ઉમરમાં બ્રેઈનને મદદરૂપ થતું હોય છે.
  આપણે ભારતીયો માનસિક રીતે નિવૃત્ત વહેલા થઈ જતા હોઈએ છીએ,અને કસરત તો ‘ન ભૂતો ના ભવિષ્યતિ’. આપણી સ્ત્રીઓ મેનપોઝ(Menopause)પછી સાવ બેઢંગી બની જતી હોય છે,વહેલી રિટાયર થઈ જતી હોય છે.આમેય ભારતીય સ્ત્રીઓ કસરત બાબતે શારીરિક ફિટનેશ બાબતે સાવ ઉદાસ હોય છે.યુવાનીમાં દરેક સ્ત્રી સ્વાભાવિક સુંદર લાગતી હોય છે,પણ પ્રૌઢ બનતા એમનું શરીર બેડોળ થવા લાગતું હોય છે.એવરેજ ભારતીય સ્ત્રી યુવાનીમાં સુંદરતા ગુમાવવા લાગતી હોય છે.ફિલ્મ ઉદ્યોગ જેતે સમાજનું પ્રતિબિંબ હોય છે.આપણી અભિનેત્રીઓ ત્રીસી કે ચાલીસી પછી?જ્યારે શેરોન સ્ટોન,ડેમીમુર,જેનીફર લોપેઝ,આવી તો અનેક???અરે ૬૫ વર્ષની મેરિલ સ્ટ્રીપ જુઓ.આપણાં અભિનેતાઓમાં કસરતી શરીરનો ક્રેઝ વધ્યો છે તે સારી બાબત છે.
         વૃદ્ધ બ્રેઈન એક રીતે ક્રિયેટીવ બ્રેઈન જેવું હોય છે.આવું બ્રેઈન નિરવરોધ,અનિગ્રહ અને પ્રસ્તુત વિષયથી દૂર ખેંચી જનારું વધારે હોય છે જે એક રીતે ક્રિયેટીવ ગણાય.ક્રિયેટીવ બ્રેઈન જ્ઞાનને પાસાદાર બનાવી કંઈક નવીન રીતે રજૂ કરતું હોય છે.ક્રિયેટીવ બ્રેઈન કોઈ એક વસ્તુ પ્રત્યે સ્થિર હોતું નથી,એમનો વ્યુ બ્રોડ હોય છે.બીજો એક સ્ટડી બતાવે છે કે એજીંગ બ્રેઈનના Prefrontal cortex નો એરિયા જે self-conscious awareness ,emotions નું પ્રતિનિધિત્વ કરતો હોય છે તે પાતળો હોય છે.જે લોકોને પ્રભાવિત કરવા માટેની ખ્વાહિશ અને લોકો પાસેથી અપેક્ષા  ઓછી રાખતું હોય છે જે ક્રિયેટીવ લોકો માટે જરૂરનું હોય છે. ક્રિયેટીવ લોકો કોઈને ખુશ કરવાને બદલે પોતાનામાં મસ્ત હોય છે. ક્રિયેટીવીટી માટે બ્રેઈનના બે ભાગ જવાબદાર હોય છે,prefrontal cortex અને  anterior cingulate .Openness to new ideas and a flexible attitude toward change are the essence of creativity.આવું નવા વિચારો પ્રત્યેનું ખુલ્લાપણું સ્ત્રીઓના prefrontal cortex ને વધુ એક્ટીવ કરતું હોય છે જ્યારે પુરુષોના anterior cingulate cortex ને એક્ટીવ કરતું હોય છે.
        વૃદ્ધ લોકો પાસે બહુ લાંબો અનુભવ હોય છે,લાંબી જિંદગીમાં સારું એવું નૉલેજ ભેગું કર્યું હોય છે.અને તેનો ઉપયોગ કરીને ક્રિયેટીવ સર્જનાત્મક બની શકાય છે.Millard Kaufman ,એમની પહેલી અને હીટ નોવેલ Bowl of Cherries  ૯૦ વર્ષની ઉંમરે લખેલી.  A Dangerous Weakness નામની  નોવેલ લખીને ૯૩ વર્ષની ઉમરની Lorna Page ,બ્રિટનમાં એક લહેર જગાવી દીધેલી.બેન્જામીન ફ્રેન્કલીને ૭૮ વર્ષે બાઇફોકલ લેન્સની શોધ કરેલી.૮૫ વર્ષે થોમસ હાર્ડીએ એમની કવિતાઓની બુક પબ્લીશ કરેલી.આવા તો અનેક વિરલાઓ હશે.
  મને જે આવા યંગ સ્વભાવના મિત્રો મળ્યા છે તેઓને મળીને મને ખૂબ આનંદ અને પ્રેરણા મળેલી.આશરે બે વર્ષ પહેલા મળેલા ‘કલ્ચર કેન કિલ’ નાં લેખક શ્રી સુબોધ શાહ આજે ૮૦ વર્ષના હશે.શ્રી રશ્મીકાંત દેસાઈ આજે ૭૪ વર્ષના હશે અને હમણાં સમરમાં મળેલા ડો દિનેશભાઈ પટેલ ૭૨ વર્ષના ચાઈલ્ડ સ્પેશીયાલીસ્ટ,તમામ ખૂબ તરવરીયા,એનર્જેટિક,નોલેજનું જાણે વેરહાઉસ અને સ્વભાવે નમ્ર,શાલીન અને ક્રાંતિકારી વિચારો ધરાવતા છે.
    યુવાની રિસ્ક ટેકર હોય છે.રીસ્ક્માથી થ્રિલ મેળવતી  હોય છે.એમાં પણ યુવાન પુરુષો વધુ રિસ્ક ટેકર હોય છે સ્ત્રીઓ ઓછી.આમ પુરુષો સ્ત્રીઓની સરખામણીએ વધુ મારતા હોય છે.વૃદ્ધ હોય તો પણ પુરુષો જરા વહેલા મરતાં હોય છે.૧૯૯૮મા એકસર્વે થયેલો ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં,૪૬૫૫ શ્વેત પુરુષો અને ૧૩૨ આફ્રિકન અમેરિકન પુરુષોએ આત્મહત્યા  કરેલી,જ્યારે ૯૦૨ શ્વેત મહિલાઓ અને ૨૦ આફ્રિકન અમેરિકન મહિલાઓએ આત્મહત્યા કરેલી.રોગના કારણે પણ મરનાર પુરુષોની સંખ્યા મહિલાઓ કરતા વધુ હોય છે.
  પુરુષો સ્વભાવગત કોમ્પીટેટીવ અને મહિલાઓ કોઓપરેટીવ હોય છે.આમ મહિલાઓને સામાજિક સપોર્ટ સારો એવો મળતો હોય છે.બ્રેઈન સ્કેન દર્શાવે છે કે સહકારની ભાવના બ્રેઈનની નર્વ સર્કિટને ઉત્તેજિત કરતી હોય છે જે રીવોર્ડ સિસ્ટમનો ભાગ હોય છે.અને એનાથી ઓક્સીટોસીન ન્યુરોકેમિકલ સ્ત્રાવ વધે છે જે એક જાતનું સુખ અર્પે છે.એટલે એકબીજાને સહકાર આપવાથી સારું લાગતું હોય છે.એટલે સામાજિક સહકાર બ્રેઈનને ખૂબ લાભદાયી હોય છે.આમ આ બધું ઓવરઓલ સારા આયુષ્ય માટે કારણભૂત બનતું હોય છે.આમ કેરગીવર થિયરી પ્રમાણે મહિલાઓ લાંબું જીવતી હોય છે સરેરાશ પુરુષો કરતા પાંચ વર્ષ વધુ.સ્ત્રીઓને બાળકો મોટા કરવાની જવાબદારી ભાગે વધુ આવતી હોય છે.જેથી તેઓ રિસ્ક ટેકર હોતી નથી.માતા વગરના બાળકોનો સર્વાઈવલ રેટ ઓછો થઈ જતો હોય છે.જે જાતોમાં નર પણ માદા જેટલી જ એના સંતાનોને ઉછેરવાની જવાબદારી સંભાળતો હોય ત્યાં નર અને માદા બંનેનું આયુષ્ય સરખું હોય છે,દાખલા તરીકે siamangs (a type of ape) and titi monkeys.Male owl monkey એના સંતાનોને ખાલી દૂધ પીવા પૂરતા માદાને આપતા હોય છે બાકીની ઉછેરવાની તમામ જવાબદારી નરની હોય છે ત્યાં નર વધારે જીવતા હોય છે માદા કરતા.આમ પુરુષ સ્વભાવગત રિસ્ક ટેકર હોવાથી ઓછું આયુષ્ય ભોગવતો હોય છે અને સ્ત્રીઓ પ્રાયમરી કેર ગીવર હોવાથી વધુ આયુષ્ય ભોગવતી હોય છે.
      એક સ્ટડી એવું પણ કહે છે કે જે લોકો પોતાના અંતરાત્માને પૂછીને ચાલનારા અને સારી દાનતના હોય અને પોતાની કેર જાતે કરતા હોય તે લોકો લાંબું જીવતા હોય છે.જોબ સ્ટ્રેસ વહેલા મારી નાખે તેવું પણ નથી.ઉલટાના જોબ છોડીને કેર ફ્રી રહેનારા વહેલા મરી જતા હોય છે.પ્રોડક્ટીવ અને લાંબું કેરિયર ધરાવનારા લોકો વધુ આયુષ્ય ભોગવતા હોય છે.
      ફ્લેક્સીબલ મેન્ટલ એટીટ્યુડ,ઘણાબધા સમાન વિચારસરણી ધરાવતા મિત્રો,ચેસ,બ્રીજ,મ્યુઝિક,ડાન્સ આ બધું બ્રેઈનને એક્ટીવ રાખતું હોય છે.પરણેલા પુરુષો કુંવારા કરતા વધુ જીવતા હોય છે.
Centers for Disease Control and Prevention (CDC) શું કહે છે તે જોઈશું?
 ૧) વજન જાળવવું- અતિશય વજન કે બોડી ફેટ સારું નહિ.BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ ૨૫ કરતા ઓછો હોવો જોઈએ.
૨) પૂરતા ફળ અને શાકભાજી ખાવા જોઈએ.
૩)ફીજીકલી એક્ટીવ રહેવું જોઈએ.
૪)સિગારેટ સ્મોકિંગ બંધ.
૫) દારુ પીને ડ્રાઈવ કરવું બંધ.

શરીરની ભાષા.

Ralph Waldo Emerson
Image via Wikipedia

શરીરની ભાષા.

              ભાષા બે પ્રકારની હોય છે,એક તો શબ્દોની અને બીજી હોય છે શરીરની.શરીરની ભાષાને બોડી લેન્ગવેજ પણ કહી શકાય.પ્રાણીઓ શબ્દોની ભાષા જાણતા હોતા નથી,એમને શરીરની ભાષા જ આવડતી હોય છે.શરીરની ભાષા લાગણીની ભાષા છે,ભાવનાઓની ભાષા છે.શરીરની ભાષા લીમ્બીક બ્રેઈનની ભાષા છે.લાગણીની ભાષા વૈશ્વિક છે.લીમ્બીક બ્રેઈન શબ્દોની ભાષા જાણતું નથી.સર્વાઈવલની ભારે જવાબદારી લીમ્બીક બ્રેઈન કરોડો કરોડો વર્ષથી જાળવતું આવ્યું છે.લીમ્બીક રીએક્શન ત્વરિત,પ્રમાણિક,ચોક્કસ,સમય દ્વારા(‘મૈ સમય હું’,મહાભારત સિરિયલનું વાક્ય યાદ આવે છે?) પ્રમાણિત હોય છે.લીમ્બીક રીએક્શનનું વાયરીંગ સખત હોય છે,કેમ કે કરોડો વર્ષની નીપજ છે.જાયન્ટ કાંગારું વિષે એક ડોક્યુમેન્ટ્રી હું જોતો હતો.કાંગારું એના બચ્ચાને સાવ અધૂરું વિકસેલું જન્મ આપે છે.આ જાતના મેમલ બહુ રહ્યા નથી.અવિકસિત બચ્ચું પેટ આગળ રહેલી કોથળીમાં મોટું થાતું હોય છે.માદા કાંગારું એક બચ્ચાને જન્મ આપે છે તે હું જોતો હતો,સાવ એક વેંતનું પણ નહિ હોય અને માંસના લોચા જેવું લાગતું બચ્ચું જન્મતા વેત નીચે જમીન પર પડવાને બદલે સીધું ધીમે ધીમે જાણે વર્ષોથી જાણતું હોય તેમ પેલી કોથળી તરફ આગળ વધતું જોઇને મને અચરજ લાગ્યું.કોથળીમાં પ્રવેશી તરત એણે દુધની બાટલી તૈયાર જ હતી પીવાનું શરુ કરી દીધું.
          આપણી જરૂરિયાતો,લાગણીઓ,વિચારો અને હેતુ બધાનું પ્રોસેસિંગ કરીને લીમ્બીક બ્રેઈન શરીરની ભાષા દ્વારા વ્યક્ત કરતુ હોય છે.બોસ્ટન હોય કે બોર્નીઓ,અમદાવાદ હોય કે આર્જેન્ટીના બાળકને કોઈ ખોરાક ભાવતો નાં હોય તો એના હોઠ ભીડી દેવાનું,અને માતાને જોઇને એના ચક્ષુ વિસ્ફારિત થઇ જવાના.આપણે ખુશ હોઈએ કે નાખુશ,ઠંડી હોય કે ગરમી,કે પછી હોય હુંફાળું વાતાવરણ આપણી અંગચેષ્ટા,ભાવ ભંગિમા તરત બદલાઈ જવાની.કોઈ અશુભ સમાચાર મળશે તો હોઠ સખત ભીડાઈ જવાના,બસ આપણને લીધા વગર જતી રહેશે તો દાંત કચ કચાવીશું,બોચી ખંજવાળીશું,બોસ રજાને દિવસે કામ પર બોલાવશે તો મુંડી નીચી અને આંખોની કીકી નાની થઇ જશે.આવું તો ઘણું બધું શરીરની ભાષા દ્વારા વ્યક્ત થતું હોય છે,જે આપણાં લીમ્બીક બ્રેઈન દ્વારા કરોડો વરસથી પરફેક્ટ શોધેલું છે.
          કોઈ પ્રિય વ્યક્તિ મળી જાય ત્યારે?ચહેરાના સ્નાયુ રીલેક્સ થઇ જતા હોય છે,હાથ થોડા પહોળા ગોઠવાઈ જતા હોય છે જેથી પ્રિય વ્યક્તિને આવકારી શકીએ,હોઠ તરફ લોહીનો ધસારો વધી જતો હોય છે,ગરદન આગળ જુકતી હોય છે,આંખની કીકીઓ પહોળી થઇ જતી હોય છે.
       Yale કોલેજની લાયબ્રેરીમાં એક છોકરો અને એક છોકરી કશું બોલ્યા વગર એક બીજાની સામે જોયા કરતા હતા,થાકીને છોકરી પેલા છોકરા પાસે ગઈ અને કહ્યું કે તું આમ મારી સામે ટગર ટગર જોવાનું ચાલુ રાખીશ અને હું પણ એવી રીતે જોયા કરીશ એના કરતા હું તને મારો પરિચય આપી દઉં,હું છું Hillary Rodham ,તારું નામ શું છે?જવાબમાં બીલ ક્લીન્ટન એમનું પોતાનું નામ ક્ષણ માટે ભૂલી ગયેલા.
   આપણાં પાછલા અનુભવો લક્ષ્યમાં લઈને કોઈ વ્યક્તિને પહેલી વાર જોઈએ ત્યારે એક જ મુલાકાતમાં એની વર્તણુક અને બોડી જેસ્ચર માપીને બ્રેઈન એક ત્વરિત ફર્સ્ટ ઇમ્પ્રેશન બાંધી લેતું હોય છે.હાસ્ય એક હકારાત્મક વર્તણુક છે,જેને આપણે ૩૦ મીટર દુરથી પણ અનુભવી શકીએ છીએ.અજાણ્યા   વ્યક્તિ માટે ફર્સ્ટ ઇમ્પ્રેશન વડે એનું અનુમાન કરવા માટે ખાલી ત્રણ સેકંડ બ્રેઈન લેતું હોય છે,Nalini Ambady, professor of psychology at Tufts University in Medford, Massachusetts,આ બહેને ફર્સ્ટ ઇમ્પ્રેશન વિષે ખૂબ અભ્યાસ કર્યો છે.એમના કહેવા પ્રમાણે માનવ જાતે ખૂબ જડપી સામેની વ્યક્તિ માટે અનુમાન કરવાની કાબેલિયત કેળવેલી છે કે તે નુકશાન કારક છે કે લાભદાયી.એને તેઓ  “thin slices” of experience કહે છે. કાબેલિયત મનના બહુ ઊંડા ખૂણામાં પ્રોસેસ થતી હોય છે.આપણાં પ્રાચીન પૂર્વજો જેઓ ખાઓ અથવા ખવાઈ જાઓ જેવી દુનિયામાં જીવતા હતા ત્યારે આ ત્વરિત અનુમાન કરવાની ક્ષમતા એક જ નજરમાં પારખી લેવાની ક્ષમતા કેળવી ચુક્યા હતા એક સર્વાઈવલની ટેકનીક તરીકે.

Here, people use words to describe….not using words.  Enjoy.

**What you do speaks so loud that I cannot hear what you say. – Ralph Waldo Emerson

**The most important thing in communication is hearing what isn’t said. – Peter F. Drucker

**Electric communication will never be a substitute for the face of someone who with their soul encourages another person to be brave and true. – Charles Dickens

**The human body is the best picture of the human soul. – Ludwig Wittgenstein

**But behavior in the human being is sometimes a defense, a way of concealing motives and thoughts, as language can be a way of hiding your thoughts and preventing communication. – Abraham Maslow

**Who is Mike Judge? Let me think. The only way I could possibly answer that question would be in a nonverbal fashion. I think I could do an interpretive dance that would answer that question for you.
– Mike Judge

**Body language is essential for an actress, even if you don’t use your body in an athletic way. Just to be free, to use it like your voice. A body can be small and have incredible violence. A body talks. – Anne Parillau

**Body language is a very powerful tool. We had body language before we had speech, and apparently, 80% of what you understand in a conversation is read through the body, not the words. – Deborah Bull

**Get in touch with the way the other person feels. Feelings are 55% body language, 38% tone and 7% words. – Unknown

**I speak two languages, Body and English. – Mae West
**Fie, fie upon her!
There’s language in her eye, her cheek, her lip,
Nay, her foot speaks; her wanton spirits look out
At every joint and motive of her body. – William Shakespeare
**Deafness has left me acutely aware of both the duplicity that language is capable of and the many expressions the body cannot hide. – Terry Galloway
**Language is surely too small a vessel to contain these emotions of mind and body that have somehow awakened a response in the spirit. – Radclyffe Hall
**Emotion always has its roots in the unconscious and manifests itself in the body. – Irene Claremont de Castillejo
**The body never lies. – Martha Graham
**Our bodies are apt to be our autobiographies. – Frank Gillette Burgess
**You have to think an awful lot about your motivations or people’s behavioral intentions or what their body language can indicate or what’s really going on or what makes people sometimes do, sometimes, the irrational things they do. – Ron Silver
**In this respect, I suppose I’m the total opposite of Garry [Kasparov]. With his very emotive body language at the [chess]board he shows and displays all his emotions. I don’t. – Vladimir ક્રમ્નીક
**I can’t just tell the guys I want the ball, I have to do it with my body language. – LaMarcus Aldridge
**You can tell a lot by someone’s body language. – Harvey Wolter
**Kids used to sit back and listen to lectures. Now they’re leaning in. Body language has changed. – Mike Harvey
**A blur of blinks, taps, jiggles, pivots and shifts … the body language of a man wishing urgently to be elsewhere. – Edward R. Murrow
**I want guys who want to be here. I want guys who are energetic and passionate. I didn’t see any passion from Todd. You could tell form his body language that he didn’t want to be here. – Perry Florio
**Experienced trial attorneys tend to rely on instinct when picking a jury. You get an idea of the kind of people that you are looking for and pay careful attention to their answers and body language. – James Diamond
**Not only is her body language revealing, but so are her silences, which I find remarkable for an actress. It’s how she doesn’t say things verbally that I find exceedingly communicative. – Laurence કર્ડીશ
**The mood was terrible. You could see it in everybody’s eyes. The body language was just defeated. When they put me in I was hoping I could give us some energy and try to bring us back. – Billy Campbell
**I was analyzing the guys’ nonverbal communication. I learned that in sociology. When I see that, when I see fatigue, some negative things, you’ve got to go straight at them. – Glen Davis
**There’s a constant communication going on when you’re dancing, most of it nonverbal. You have to learn to communicate in a different way. For the ladies, you have to learn to follow. That’s kind of tough. – Suzanne Perez
**Eye rolling is one of the nonverbal signs that is pretty much always aggressive. – Steve Watts
**Verbal and nonverbal activity is a unified whole, and theory and methodology should be organized or created to treat it as such. – Kenneth L. Pike
**In terms of nonverbal communication, by not seeing the full face – whether it’s bangs in the eyes of a woman or a man, or a beard – there can be some who perceive the individual is hiding something. – Judith Rasband
**The more elaborate our means of communication, the less we communicate. – Joseph Priestley
**The single biggest problem in communication is the illusion that it has taken place. – George Bernard Shaw
**Effective communication is 20% what you know and 80% how you feel about what you know. – Jim Rohn
**Use non-verbal communication to SOFTEN the hard-line position of others: S = Smile O = Open Posture F = Forward Lean T = Touch E = Eye Contact N = Nod. – Unknown
**There are four ways, and only four ways, in which we have contact with the world. We are evaluated and classified by these four contacts: what we do, how we look, what we say, and how we say it. – Dale Carnegie
**When the eyes say one thing, and the tongue another, a practiced man relies on the language of the first. – Ralph Waldo Emerson
 “If language was given to men to conceal their thoughts, then gesture’s purpose was to disclose them.” John Napier.

રાસાયણિક તત્વજ્ઞાન-૧(Hard Truths About Human Nature)

રાસાયણિક તત્વજ્ઞાન-૧(Hard Truths About Human Nature)

   જીવન એક રાસાયણિક તથ્ય, અદ્ભુત મૅમલ બ્રેન

 આવો જરા મૅમલ બ્રેન વિષે પ્રાથમિક માહિતી મેળવીએ. ઊંડા સંશોધન, બ્રેન વિષે ન્યુઅરૉલજિસ્ટ ઉપર છોડીએ. મૅમલ બ્રેન એટલે દરેક મૅમલ એટલે સસ્તન પ્રાણીઓ પાસે સામાન્યતઃ હોય છે.

 * Limbic સિસ્ટમ, જે દરેક મૅમલ પાસે યૂનીક હોય છે.

 * Medulla અને Cerebellum જે દરેક મૅમલને સરીસર્પ(જમીન પર પેટે ઘસડીને ચાલતું ઠંડા લોહીવાળું પ્રાણી) પાસેથી વારસામાં મળેલું     છે.

 * Small Cortex -દરેક મૅમલમાં એની સાઇઝ જુદી જુદી હોય છે.evolutioncompare

 ખાલી માનવજાતમાં Pre-Frontal Cortex હોય છે. જે મૅમલ બ્રેનમાં સમાવેશ થતું નથી. આપણું મોટું મગજ ખૂબ હોશિયારીપૂર્વક અનેક બાબતોનું પૃથ્થકરણ કરી શકે છે જે નાનું બ્રેન(મૅમલ બ્રેન) કરી શકતું નથી. આપણી જ્ઞાનેન્દ્રિયો જે માહિતી આપતી હોય કે જે અનુભવતી હોય તેના સિવાય કે તેના ઉપર આધાર રાખ્યા  સિવાય પણ માનવજાત પાસે માહિતીનું સર્જન કરવાની  અજોડ ક્ષમતા છે. ટૂંકમાં મોટું મગજ નાના મગજ  કરતા ક્વૉલિટીની દ્રષ્ટીએ જરા જુદું પડી જાય છે.

 ભાષા એક અમૂર્ત વિશિષ્ટ કળા છે. લાર્જ કૉર્ટેક્સને એનું વિશ્લેષણ કરવું પડતું હોય છે. પણ લિમ્બિક સિસ્ટમ કોઈ ભાષા વાપરતું નથી. એટલે લિમ્બિક સિસ્ટમ કૉર્ટેક્સને કોઈ શબ્દોમાં માહિતી આપતું નથી. એ દુનિયાને પ્રતિભાવ આપે છે ન્યુરોકેમિકલ છોડીને. આપણું કૉર્ટેક્સ આ પ્રતિક્રિયાને સમજવા પ્રયત્ન કરતું હોય છે, પણ એની અંદર શું ચાલે તેની ખબર હોતી નથી. આપણું કૉર્ટેક્સ નિરીક્ષણ કરીને શીખતું હોય છે.

 આપણે ન્યુરોકેમિસ્ટ્રિ વિષે જાણતા હોતા નથી. સુખ અને દુખ વિષે વિચારો કર્યા કરતા હોઈએ છીએ. જાતજાતની ફિલૉસફી ગોઠવતા હોઈએ છીએ. છેવટે કશું નાં સૂજે તો સાક્ષીભાવ રાખવાનું વિચારીએ છીએ. અને આવું કહેનાર ‘ગીતા’ મહાન પુસ્તક બની જાય છે. પણ તમે જો આ ન્યુરોકેમિકલ્સની પ્રતિક્રિયા વિષે ધ્યાન કેન્દ્રિત કરશો તો એની ચોક્કસ પૅટર્ન જાણી શકશો. કૉર્ટેક્સ સાથે જોડાયેલી લિમ્બિક સિસ્ટમને સમજવાનું ખુદ કૉર્ટેક્સ માટે સહેલું નથી.

 પ્રાણીઓની બિહેવ્યર વિષે અભ્યાસ કરવાથી મદદ મળી શકે છે. કારણ કે પ્રાણીઓ ખાસ વિચાર કર્યા વગર તેમના ન્યુરોકેમિકલને અનુસરતા હોય છે. પ્રાણીઓની બિહેવ્યર પૅટર્ન ઘણું બધું આપણી લિમ્બિક સિસ્ટમ વિષે શીખવી શકે છે.images=-=-=-

 સૌ પ્રથમ મૅમલ જે ઉત્ક્રાન્તિના ક્રમમાં પેદા થયું હશે તેને તેનું બ્રેન સરીસર્પ(Reptile)પાસેથી વારસામાં મળ્યું હશે. પછી તેમાં નવા ભાગ વિકાસ પામ્યા અને ઉમેરાયા. સરીસર્પ એકલવાયું ક્રીચર છે. જે સામાજિક નિર્ણય લઈ શકે તેવું બ્રેઈન ધરાવતું નથી. આદિમ મૅમલ ગૃપમાં રહેવાથી સમૃદ્ધ થયા. કેમકે સમૂહમાં સલામતી હોય છે. એકલાં રહેતા મૅમલ કરતા સમૂહમાં રહેતા મૅમલનો સર્વાઇવલ રેટ ઊંચો હોય. એકબીજાને સહન કરીને સમૂહમાં રહેવું પડે. અને આમ કરતા એમની વસ્તી વધવાના ચાન્સ પણ વધી જાય.

 આમ નૅચરલ સિલેક્શન ધીમે ધીમે સામાજિક વ્યવહારની આવડત તરફ દોરવા લાગ્યું  અને આમ મૅમલનું બ્રેન સ્ટ્રક્ચર વિકાસ પામવા લાગ્યું. આ રીતે એમાં સમાયા Hypothalamus, Hippocampus,  Amygdala અને બીજા થોડા બીજા ભાગો જે બધું ભેગું થઈને લિમ્બિક સિસ્ટમ બન્યું. આ સ્ટ્રક્ચર ન્યુરોકેમિકલ્સ છોડે જે સામાજિક વ્યવહારને એક ચોક્કસ રૂપ અર્પે છે. દરેક મૅમલ પાસે રેપ્ટાઇલ બ્રેન ઉપર લિમ્બિક સિસ્ટમ હોય છે, જે બીજા જીવ જંતુ પાસે હોતી નથી.

 આ લિમ્બિક સિસ્ટમ એક સ્તનધારી પ્રાણીને બીજા સ્તનધારી પ્રાણીઓ સાથે હકારાત્મક પ્રતિભાવ આપવા સક્ષમ બનાવે છે. એક સરીસર્પ પાસે બીજા સરીસર્પ માટે કોઈ હૂંફાળી લાગણી હોતી નથી. રેપ્ટાઇલની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ હંમેશા સંભવિત આક્રમણકારી વિષે સચેત હોય છે, કોઈ સમાજિક જોડાણ માટે નહિ. ખાલી લિમ્બિસિસ્ટમ પાસે એમના જાત ભાઈ માટે સારી ભાવના હોય છે.

 મૅમલ એમના જાતિના દરેક માટે એકસરખી સારી ભાવના ધરાવતા હોતા નથી. તેઓ સામાજિક નિર્ણય લેતા હોય છે. લિમ્બિક સિસ્ટમ અને રેપ્ટાઇલ બ્રેન સંપીને કામ કરતા હોય છે અને મૅમલને દોરવણી આપતા  હોય છે, સામે આવેલ મૅમલ જો હકારાત્મક કેમિકલ સ્ત્રાવ માટે કારણભૂત હોય તો એને આવકારો અને એની સામે જાઓ, અને જે નકારાત્મક કેમિકલ સ્ત્રાવ માટે કારણભૂત બને તેનાથી દૂર રહો. આ એફિશન્ટ ડિઝાઈન મિલ્યસં ઑફ યર્સ થી કામ કરી રહી છે.

 દરેક મૅમલ પાસે કૉર્ટેક્સ છે, પણ ઘણા પાસે સાવ નજીવું હોય છે. જેટલું કૉર્ટેક્સ નાનું  તેટલું તે પ્રાણી કુદરતી ન્યુરોકેમિકલ્સનાં રિસ્પૉન્સ ઉપર આધાર રાખવાનું, જે તે બચપણથી શીખ્યું હોય. જેમ કૉર્ટેક્સ મોટું તેમ એના ઑટમૅટિક રિસ્પૉન્સ સાથે પોતાના પાછલાં સ્ટોઅર કરેલા અનુભવો લક્ષમાં લઈને અડજસ્ટ કરશે. બસ અહી જ તકલીફ થતી હોય છે.

 આપણાં પિતરાઈ એપ્સ કરતા આપણું કૉર્ટેક્સ ત્રણ ઘણું મોટું હોય છે. અને એપ્સનું કૉર્ટેક્સ સામાન્ય વાનર કરતા ત્રણ ઘણું મોટું હોય છે, અને વાનરનું કૉર્ટેક્સ વળી કૂતરાં કરતા મોટું હોય છે. છતાં શબ્દો વાપર્યા વગર પણ કૂતરાં અને વાનરો એમની જટિલ સામાજિક વ્યવસ્થામાં જીવતા હોય છે. તેઓ ન્યુરોકેમિકલ ઉપર વધુ આધાર રાખતા હોય છે.

 ન્યુરોકેમિકલનાં ઓચિંતા ધક્કા વિષે સામાન્ય પ્રતિક્રિયાનાં બદલે તેના જુદા જુદા વિકલ્પ કૉર્ટેક્સ શોધી કાઢતું હોય છે.  સામાન્ય પ્રતિક્રિયા તો પ્રાણીઓ આપતા જ હોય છે, પણ માનવ પાસે બહુ મોટું વિચારવંત બ્રેન છે જે જાત જાતના વિકલ્પ શોધી કાઢતું હોય છે. દરેક પ્રાણી  પાસે સાવ નાનું તો નાનું પણ કૉર્ટેક્સ હોય છે જે એને આ પ્રતિક્રિયામાં પાછલાં અનુભવો ઉમેરવાનું શીખવતું હોય છે, એના વિકલ્પ શોધવાનું શીખવતું હોય છે. જેમ કૉર્ટેક્સ મોટું તેમ નવા નવા વિકલ્પ શોધવાની ક્ષમતા વધુ. માનવ જાત પાસે ઘણું મોટું કૉર્ટેક્સ હોવાથી તે ઘણા બધા ગહન અને જટિલ વિકલ્પ શોધી કાઢતું હોય છે, અને તેથી લિમ્બિક સિસ્ટમ જે પડદા પાછળ કામ કરતી હોય છે તે ધ્યાનમાં લેતા નથી, દરગુજર કરીએ છીએ.

 આપણાં મેમલિઅન ન્યુરોકેમિકલ્સ બે જાતના હોય છે, Neurotransmitters અને Hormones . ન્યુરોટ્રૅનિઝમટર બ્રેનમાં રહેતા હોય છે અને હૉર્મોન્સ બ્લડમાં ભળી શકતા હોય છે. બંને સાથેજ સંપીને સ્ટેટ્સ અને હેપિનેસ માટે કામ કરતા હોય છે. માટે ન્યુરોકેમિકલ્સ કહીશું તો અસ્થાને નહિ ગણાય.

 માનવ જાતે સદાય માટે એની વર્તણૂક માટે જાત જાતની ફિલૉસફી શોધી કાઢી છે. અને ન્યુરોકેમિકલ્સ અને લિમ્બિક સિસ્ટમને ધ્યાનમાં લીધી નથી. આપણે પદ, પ્રતિષ્ઠા અને સામાજિક મોભો ઇચ્છતા પ્રાણી છીએ તેવું સ્વીકારવાનું આપણી ફિલૉસફીએ શીખવ્યું નથી. આપણે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની વાતોમાંથી ઊંચા આવતા જ નથી.

કેસરિયા, પરમાર્થ. (Hard Truths About Human Nature)

Hamiraji Gohil ,who sacrificed his life during battle near Somnath Temple.

કેસરિયા, પરમાર્થ.

               આશરે ૧૦૨૪ની સાલ હશે. મહમદ ગઝની સોમનાથ મંદિર ઉપર ચડી આવેલો. પાટણના સોલંકી રાજા ભીમદેવ ક્યાંક કચ્છમાં ભાગી ગયેલા. લાઠીના કુંવર હમીરજી ગોહિલ આશરે ત્રણસો કે ચારસો રાજપૂતો લઈને ગઝની સામે લડવા ગયેલા. સ્વાભાવિક છે કે એમને ખબર જ હોય કે આટલાં મોટા લશ્કર સામે લડવું એટલે મોત જ મળવાનું છે. બધા કપાઈ મર્યા, અલ્લાઉદ્દીન ખીલજી ચિતોડ ઉપર ચડી આવેલો ત્યારે પણ રજપૂતોએ કેસરિયા કરેલા.

કેસરિયા એટલે જ્યારે જીતવાનો કોઈ આરો લાગે નહિ ત્યારે રાજપૂતો કેસરી રંગના કપડાં પહેરી, દુશ્મનના સૈન્ય સામે દોડી જતા, જેટલાને મરાય તેટલાને મારીને પછી બધા કપાઈ મરતા. રાજપૂતોની સ્ત્રીઓ જોહર કરતી. એક મોટા કૂવામાં ચિતા સળગાવી અંદર કૂદી પડતી.

સ્પાર્ટન રાજા પોતાના ત્રણસો બોડીગાર્ડ કે અંગત સૈન્ય સાથે વિશાલ પર્શિયન લશ્કર સામે લડવા નીકળી પડે છે. રસ્તામાં એના રાજના બીજા લોકો યુદ્ધમાં જોડાવા આવી ચડે છે. રાજા પૂછે છે એક જણને કે તારો વ્યવસાય શું છે ? જવાબ મળે છે, લુહાર છું. બીજાને પૂછે છે, ઉત્તર મળે છે સુથાર છું. આમ બેચાર જણાને પૂછીને રાજા પોતાના સૈનિકોને પૂછે છે તમારો વ્યવસાય શું છે ? ઉત્તરમાં ગગનભેદી અવાજે એક સાથે બધા સિંહની જેમ દહાડે છે યુદ્ધ ! યુદ્ધ ! રૂંવાડા ઉભા થઈ જાય તેવા દ્ગશ્યો છે આ ફિલ્મમાં, જીવનમાં એકવાર આ ફિલ્મ જોવા જેવી છે. આવી ફિલ્મ કુંવર હમીરજી ગોહિલ વિષે આપણે કેમ નહિ બનાવતા હોઈએ ? આપણી પોકળ અહિંસાએ સૈનિક બળનું સન્માન કરવાનું શીખવ્યું જ નથી. આપણી વૉર  ફિલ્મોમાં પણ યુદ્ધ જેવું ખાસ હોતું નથી, રૉમૅન્સ વધુ હોય છે.

આ મારવાની તો સમજ્યા પણ મરવાની ખપી જવાની ભાવના વિષે શું માનીશું ? ઇતિહાસ ગવાહ છે કે દુશ્મનના તીક્ષ્ણ ભાલા, તીર, ગનફાયર અને બૉમ્બ વચ્ચે મરણીયા સૈનિકો એમના મિત્રો, સાથીઓ, કૉમરેડ ને બાજુમાં જ મરતા જોતા હોવા છતાં આગળ વધે જ જતા હોય છે. માનવ જાત મૂળભૂત સ્વાર્થી હોય છે. કોઈ પણ હિસાબે બચવું અને પોતાના જીન ફ્યૂચર જેનરેશનમાં ટ્રાન્સ્ફર કરવા તે એનો મુખ્ય હેતુ હોય છે. છતાં કેટલાય લોકો એવા હોય છે જેઓ પોતાના દેશ માટે, પ્રદેશ માટે વંશ વેલા માટે યુદ્ધમાં જીવ આપી દેતા હોય છે. મોટાભાગના સમાજમાં યુદ્ધમાં કોઈ મરાયો હોય તો એને જેતે સમાજ એને હીરો અને આદર્શ માનતો હોય છે. ભારતમાં એવું નથી તે વાત જુદી છે.

ભારતમાં હીરો નકલી લડાઈઓ પડદા ઉપર લડતા ફિલ્મી નાટકિયા અને લુચ્ચા લફંગાં સાધુઓ છે, ગુંડાઓ છે. અમેરિકામાં પોતાના દીકરાઓને સૈન્યમાં મોકલ્યા હોય અને યુદ્ધમાં તે દીકરો માર્યો ગયો હોય તેવી માતાઓને ‘ગોલ્ડ સ્ટાર મધર’ તરીકે નવાજવામાં આવે છે.

કેટલાય લોકો પોતાના કુટુંબને બચાવવા જતા જીવ આપી દેતા હોય છે. લોકો એમના પ્રિયજનને બચાવવા જતા જીવ અર્પી દેતા હોય છે. કોઈ પણ હિસાબે બચવું તે મૂળભૂત માનસિકતા હોય છે તો આને શું સમજીશું ? તો બીજી બાજુ જુઓ ચીનમાં એક જ સંતાન હોવું જોઈએ તેવી સરકારની પૉલીસી છે તો ત્યાં માતાઓ પોતાના સંતાનોને જાતે જ મારી નાખતી હોય છે.

ઘણા દેશોમાં ઑનર કિલિંગ થાય છે. પ્રેમાળ પિતા અને ભાઈઓ દ્વારા જ દીકરી અને બહેનને સામાજિક નિયમોના ભંગને કારણે મારી નાખવામાં આવતી હોય છે. આજ કહેવાતા સામાજિક નિયમ ભંગનું અમેરિકામાં બહુ મહત્વ હોતું નથી. દાખલા તરીકે પ્રેમમાં પડવું. કે પ્રેમી સાથે ભાગી જવું. ઘણા દેશોમાં સ્ટોન કિલિંગ પથ્થર મારીને મારી નાખવાનું પણ થતું હોય છે.

આજ રીતે જોઈએ તો યુગોસ્લાવિયામાં serbs , croats , Albanians  ૪૦ વર્ષ એકસંપ થઈને રહ્યા. એકબીજા સાથે આ વંશીય સમાજો લગ્ન સંબંધો વડે પણ બંધાઈ ગયેલ હતા. ૧૯૯૦ દેશના ભાગલા પડવા માંડ્યા, પ્રમુખ ટીટો મૃત્યુ પામ્યા આ વંશીય સમાજો એકબીજાના દુશ્મન બન્યા એકબીજાના લોહીના પ્યાસા બન્યા, વંશીય સાફ સફાઈ ચાલુ થઈ ગઈ.

આવી અસાધારણ, વિષમ માનવીય વર્તણૂકનું કારણ શું ?  એકબીજાને મારી નાખવાનું અને ઘણીવાર પોતાના ફેમિલીના લોકોને પણ મારી નાખવાનું  શા કાજે ?  શું આ બધું જીનમાં સમાયેલું છે ? જીન કોઈ ખાસ વર્તણૂક માટે જવાબદાર હોય છે ખરા ? ખાસ વર્તણૂક નહિ પણ એવી વર્તણૂક પેદા થાય તેવા વલણ પૂરતાં જીન જવાબદાર હોય છે. આપણે આવા વલણને સમય પહેલા ઓળખી શકીએ અને તેના નકારાત્મક પરિણામોથી બચી શકીએ અને તેવી રીતે વર્તણૂક બદલી શકીએ તેવી રીતે ઈવૉલ્વ જરૂર થયા છીએ.

ડાર્વિન શું કહે છે ? સર્વાઇવલ ઑવ ધ ફિટેસ્ટ, ફિટ અને ફ્લેક્સિબલનાં જેનિસ બીજી પેઢીમાં ટ્રાન્સ્ફર થવાના. પણ વ્યક્તિગત રીતે જુઓ તો જે લોકો આત્મબલિદાન આપતા હોય તેમના ચાન્સ તો ખૂબ ઓછા રહેવાના કે એમના જીન બીજી પેઢીમાં ટ્રાન્સ્ફર થાય, કે એમનો વંશવેલો આગળ વધે. પછી ડાર્વિન વિચારમાં પડ્યો, પણ પછી એણે આ સમસ્યાને વ્યક્તિગત લેવાના બદલે સામૂહિક સામાજિક રીતે લીધી તો સમજાયું કે વ્યક્તિગત બલિદાન એક સમૂહ કે સમાજ કે ગ્રૂપ કે વંશવેલાને બચાવવા માટે હોય છે. એમના એકના બલિદાનને લઈને આખો સમાજ આખો સમૂહ બચી જતો હોય છે.

ભારતમાં એવું થયું જ છે. અહી ખાલી ક્ષત્રિયો જ લડવા જતા. અને આત્મ બલિદાનો આપતા આખા સમાજ માટે. આખો સમાજ બચી જાય, પણ એમની વસ્તી ઘટતી ગઈ. કાયમ લડી લડી યુદ્ધોમાં જઈ જઈ ને ક્ષત્રિયો  ઓછા થવાના જ હતા. લડવામાં જીવ પણ ખોવા પડે ને, એ કઈ રમવાનું તો છે નહિ. વસ્તી ઘટતી ગઈ, એટલે છૂટ આપી વધારે સ્ત્રીઓ રાખો, એક સાથે વધારે સ્ત્રીઓ સાથે લગ્ન કરો. પણ અમે તો યુદ્ધમાં ના જઈએ. દરેકની લિમિટ હોય છે, એક બાળક પેદા કરતા વર્ષ નીકળી જાય અને એને મોટું કરી યુદ્ધમાં જવા તૈયાર કરતા ૨૦ વરસ નીકળી જાય એટલામાં તો હજારો કપાઈ માર્યા હોય. પછી દસ બૈરા રાખો તો પણ કઈ રીતે પહોચી શકાય ? બાળકો પેદાં કરવાની પણ એક શારીરિક લિમિટ હોય.

દાખલા તરીકે એક હરણ ઘાયલ થયું છે અને દોડી કે બરોબર ચાલી શકતું નથી, હવે આખો હરણ સમૂહ એની રાહ જોશે ? પાછળ પ્રિડેટર પડ્યા હોય  જેવા કે સિંહના ટોળા પાછળ પડ્યા હોય તો શું થાય ? નુકશાનના ચાન્સ ખૂબ વધી જવાના. ભલે  શિકારી પાછળ પડ્યા  ન હોય છતાં ઘાયલ હરણ શું કરશે ? જંગલમાં એકલું ઊંડું ચાલ્યું જશે. અને આખો સમૂહ એના સાજા થવા માટે ગુડ લક કહીને આગળ વધી જશે.

હવે એક વ્યક્તિગત હરણ એનું બલિદાન આપી દેશે પણ આખો હરણ સમૂહ બચી જશે. પરમાર્થની ભાવના આવી રીતે વિકસે છે. આખા સમૂહ, સમાજ, જાતિનાં સર્વાઇવલ માટે કશું પણ કરીએ તેનું નામ પરમાર્થ. એના માટે પોતાની જાતનું બલિદાન આપી દઈએ તેનું નામ કેસરિયા. કે ભાઈ હું ભલે મરી જઈશ મારો સમાજ જીવશે, મારો વંશવેલો જીવશે, મારો સમૂહ જીવશે તો એક રીતે હું પણ જીવતો રહીશ, મારા જિન્સ જીવતા રહેશે. અને આ અનુભવ આપણે આપણાં વારસદારોને જિન્સમાં આપતા જઈએ છીએ.

કુંવર હમીરજી એમ જ બલિદાન આપવા દોડી ગયા હશે? ના! એમના પૂર્વજોએ એવા બલિદાન આપેલા હશે, અને તે અનુભવો એમના પિતૃઓના જેનિસ દ્વારા એમનામાં પણ ઊતરેલા હશે. આવા આત્મબલિદાન આપતા પરમાર્થ કરતા નિઃસ્વાર્થી જીન વંશવેલા માટે, વંશવેલાના સર્વાઈવલ માટે બીજી પેઢીમાં વધારે પ્રમાણમાં ઊતરે તે જરૂરી છે, અને તે લગભગ દરેક પ્રાણીઓમાં ઊતરતા જ હોય છે. એટલે ઘણીવાર પોતાના સંતાનોને મોત આપવાની માનસિકતા આખા સમૂહ માટે સર્વાઇવલ માટેની હોઈ શકે. હા આ સર્વાઇવલની માન્યતા ગલત હોઈ શકે. જેવી કે ઘણા દેશોમાં પ્રેમમાં પડવું કે પ્રેમી સાથે ભાગી જવું ગલત ગણાય છે. એના માટે સગા બાપ પણ દીકરીની હત્યા કરતા અચકાતા નથી.

આમ પરમાર્થ અને પરોપકાર પોતાના સમૂહ કે સમાજ કે વંશને બચાવવા માટે કરવામાં આવતા હોય છે. એક મોટા સર્વાઇવલ માટે એક નાનું વ્યક્તિગત સર્વાઇવલ જતું કરવામાં આવતું હોય છે. ગરબડ એ થતી હોય છે કે ઘણા ચાલાક લોકો પરોપકાર અને પરમાર્થના બહાને પોતાના સર્વાઇવલની વ્યવસ્થા કરી લેતા હોય છે. એમાં નેતાઓ અને ધર્મ ગુરુઓ આવી જાય.

આ પરમાર્થની ભાવનાનો આમ દુરુપયોગ પણ થઈ જતો હોય છે. દાખલા તરીકે સો, બસો કે હજાર કરોડ અને તે પણ લોકો પાસેથી જ મેળવેલા હોય તે હોસ્પિટલો બનાવવામાં વાપરી લોકોની સેવા કરવા માટે વાપરી અને ૪૫ કે ૫૦ હજાર કરોડ ભેગાં કરી લેવાતા હોય છે જાદુગર ગુરુ દ્વારા. વળી ઘણીવાર ધાર્મિક શિક્ષણ અને માન્યતાઓનાં કારણે લોકો આખી જીંદગી સેવા કરવામાં વાપરી નાખતા હોય કે મૃત્યુ બાદ સ્વર્ગ મળે. જોકે એમાં નુકશાન કશું નથી, સ્વર્ગ હોય કે ન હોય  લોકોની સેવા તો થઈ જાય. મિશનરી પ્રવૃત્તિઓ આમ ચાલતી હોય છે.

આમ રામરોટીનો, ભૂખ્યાને ભોજન આપવાનો કૉન્સેપ્ટ ચાલુ થયો હોય છે. પણ એનો દુરુપયોગ સ્વાભાવિક ચાલુ થઈ જતો હોય છે. એમાં જે ખરેખર ભૂખ્યા હોય તે તો ઠીક કમાતા  લોકો પણ મફતમાં ખાવાની વૃત્તિને લીધે એનો લાભ લેતા હોય છે. એક મિત્રના કહેવા મુજબ આવા એક રામરોટી ચલાવતા મંદિરમાં એકના એક લોકો લ્યુના અને સ્કૂટર પર આવતા એમણે જોએલા છે અને આવું જોઇને એમને નવાઈ સાથે ગુસ્સો પણ આવતો હશે.

વળી આવી રામરોટી ચલાવતા લોકો પણ એમનો ધંધો કરી લેતા હોય છે. એના માટે ડોનેશન ઉઘરાવે એમાં એમના રોટલા પણ કાઢી નાખતા હોય. એટલે આવી પરમાર્થી વૃત્તિ ઘણાબધા લોકોમાં સહજ હોય છે, અને જરૂરી પણ છે સમાજ કે સમૂહના સર્વાઇવલ માટે. જો કે ઘણા સમાજમાં કર્મના નિયમને કારણે માનવસેવા કે એવા કોઈ પરોપકાર કરવાનું મૂનાસીબ માનતા નથી હોતા પણ પરોપકારની વૃત્તિ હોવી સ્વાભાવિક હોવાથી તેવા સમાજની આ વૃત્તિ પશુ પ્રાણી, જીવ જંતુ અને કીડી મકોડી તરફ વળી જતી હોય છે.

સમાજનો કાયદો તોડનારને સમાજ બહાર કરી દેવામાં આવતા હોય છે જેથી સમાજને ખતરો ના રહે. અને સમાજ કે સમૂહથી ઉપેક્ષિત થનારા કે થઈ જઈશું તેવો ભય પામનારા લોકો આત્મહત્યા કરીને બલિદાન આપી દેતા હોય છે. જેમ કે પ્રેમી પંખીડાઓ આપઘાત કરતા હોય છે. આજકાલ ટેરરિઝમ ચાલી રહ્યું છે ત્યાં જન્નતમા સુંદર હુર ભોગવવા મળશે તેવું ઠસાવી બાળકો અને યુવાનોને સુસાઈડર બૉમ્બર તરીકે તૈયાર કરવામાં આવતા હોય છે. પરમાર્થ એટલે પરમ સ્વાર્થ. સમૂહના સ્વાર્થ માટે વ્યક્તિગત સ્વાર્થ જતો કરવો તેનું નામ પરમાર્થ. સમૂહના પ્રાણ બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપવી તેનું નામ કેસરિયા.

 

 

 

પ્રાણીઓ વચ્ચે માનવ પ્રાણી.

Mesolimbic dopaminergic and serotonergic pathways.
Mesolimbic dopaminergic and serotonergic pathways. (Photo credit: Wikipedia)

પ્રાણીઓ વચ્ચે માનવ પ્રાણી.

મૅમલ(mammal) એટલે સસ્તન પ્રાણીઓના બ્રેન વિષે ઘણું બધું વાંચ્યા પછી આ દુનિયાને જેવી છે તેવી સ્વીકારવામાં મને ખૂબ મદદ મળી છે, પણ એનો એવો અર્થ નથી કે હું આજથી લાંચ લેવાનું શરુ કરી દઉં કે કોઈ માફિયા ટોળીનો સભ્ય બની જાઉં. લોકોના આપખુદ વલણ કે જોહુકમી કરવાની આદત જોઈ મને ખૂબ ગુસ્સો આવતો, પણ હવે થાય છે કે આ લોકો ફક્ત એમની ન્યુરોકેમિસ્ટ્રિને અનુસરે છે. કેમકે દરેક મૅમલને કોઈ ને કોઈ ઉપર સત્તા ચલાવવાનું ગમતું હોય છે.

આ ન્યુરોકેમિસ્ટ્રિ વારસામાં મળેલી છે. દરેક મૅમલ પાસે એક બ્રેન(Brain) સ્ટ્રક્ચર હોય છે જે રસાયણોનો સ્ત્રાવ કરતું હોય છે જેને આપણે માનવો સુખ, આનંદ કે હેપિનેસ તરીકે જાણીએ છીએ તે dopamine, serotonin, oxytocin and endorphins જેવા અનેક ન્યુરોકેમિકલ્સનું પરિણામ હોય છે. કમનસીબે મૅમલ બ્રેન કાયમ આનો સ્ત્રાવ કરી શકતું નથી. પણ સર્વાઇવલ માટે કશું કરીએ ત્યારે એના રિવૉર્ડ તરીકે આ કેમિકલ્સનો સ્ત્રાવ થાય છે અને દરેક મૅમલ સુખની અનુભૂતિ કરતું હોય છે.

મૅમલ્સ સામાજિક છે, સમૂહમાં રહેવા ઈવૉલ્વ થયેલા છે, અને દરેક સમુહને એક નેતાની જરૂર હોય છે. એટલે દરેક સસ્તન પ્રાણીઓનો કોઈ નેતા હોય છે. અને આ રીતે સુખના કારણભૂત રસાયણનાં સ્ત્રાવ માટે સત્તા એક સાધન બની જાય છે. આપણે માનીએ છીએ કે પ્રાણીઓ સુખ દુઃખની લાગણીઓ અનુભવી શકતા નહિ હોય, પણ એવું નથી.

આપણે મનુષ્યો પાસે લિમ્બિક સિસ્ટમ છે જે દરેક પ્રાણી જગત પાસે સામાન્યતઃ છે. એ સિવાય આપણી પાસે મોટું Cortex છે. એ ચોક્કસ છે કે આપણે પશુઓ કરતા થોડા જુદા છીએ. શરીરનાં પ્રમાણમાં સરખાવીએ તો કોઈ પણ પ્રાણી કરતાં આપણી પાસે સૌથી મોટુ બ્રેન છે. આપણી પાસે વિચાર કરી શકે તેવું મોટું બ્રેન છે. અને તેના વડે આપણે ન્યુરોકેમિકલ્સના ધક્કાને રોકી શકીએ છીએ કશું નવી વિચારી શકીએ છીએ. પણ આપણું કૉર્ટેક્સ આપણને સુખી આનંદિત કરી શકતું નથી. કારણ હૅપી કેમિકલ્સ ઉપર તેનો કોઈ કંટ્રોલ નથી. એટલે ગમે તેટલી ફિલૉસફી ફાડીએ આપણે સુખ દુઃખની લાગણીઓ ઉપર કાબૂ કરી શકતા નથી. અને જે કહેતા હોય કે તેઓ કરી શકે છે તે ખોટું છે.

એટલે તમે સતત સુખમાં રહી શકતા નથી તેમ સતત દુઃખમાં રહી શકતા નથી. કારણ આ રસાયણો ઉપર મૅમલ બ્રેનનો કાબૂ છે. મૅમલ બ્રેન પાસેથી જ તમે એને મેળવી શકો છો, અને તે મૅમલ બ્રેન એને વધારાના શક્તિના પુરવઠા તરીકે જ વાપરાતું હોય છે જે સર્વાઇવલ માટે મદદરૂપ થાય.

સર્વાઇવલ આપણે સમજીએ તે નહિ, મૅમલ બ્રેન જે આપણને પ્રાણીઓ પાસેથી લાખો કરોડો વર્ષોના અનુભવો થકી સર્વાવલ ટેક્નિક શીખીને વારસામાં મળેલું છે તે જે સમજે છે તે સમજવું. એટલે ઓચિંતો સર્પ નજીક આવી જાય તો ભલભલાં આત્મજ્ઞાની કૂદી પડતા હોય છે. આપણે જેને માથાની પાછળનામ ભાગે આવેલું નાનુ મગજ કહીએ છીએ તે જ આ મૅમલ બ્રેન કે લિમ્બિક સિસ્ટમ છે.

એટલે જ્યારે તમે નાનામાં નાની બાબતમાં પણ બીજા કોઈથી પોતાને જરા એકાદ ઇંચ પણ ઊંચા સાબિત કરો ત્યારે મૅમલ બ્રેન તેને નોટિસ કરતું હોય છે, અને પ્રતિભાવમાં હૅપી કેમિકલનો સ્ત્રાવ કરતું હોય છે જે તમને સુખ અર્પતું હોય છે. જેમ કે “મેરી શર્ટ તુમ્હારી શર્ટ સે જ્યાદા સફેદ હૈ.” અહી પૈસાનો કોઈ સવાલ નથી. અમીરી, હાઈ-સ્ટૅટસ તો સુખ અર્પે જ છે, પણ બીજાની સરખામણીએ આપણા પોતાના મનમાં કેટલા ઊંચા સાબિત કરીએ તેનો સવાલ છે. એમાં સાવ નગણ્ય ગણાય તેવી બાબતો પણ સામેલ થઈ જાય. પણ એવું કરવામાં ઊંચા સાબિત કરવામાં જીવનું જોખમ આવી ના પડે તે પણ મૅમલ બ્રેન ધ્યાન રાખતું હોય છે. ક્યારે સત્તા ચલાવવી અને ક્યારે સત્તાશાળી સામે સમર્પિત થઈ જવું તે મૅમલ બ્રેન જાણતું હોય છે અને તે અનુભવો પોતાના વારસદારોને જીનમાં આપતું જતું હોય છે.

જ્યારે કોઈ આપણાં ઉપર સત્તા ચલાવી જાય ત્યારે મૅમલ બ્રેન દુઃખી કરતા કેમિકલ્સ છોડતું હોય છે જેનાથી દૂર રહેવા અને એનો ઉપાય કરવા પ્રેરાતા હોઈએ છીએ જેથી સારી લાગણી અનુભવી શકાય. કૈક નવું પ્રાપ્ત કરીએ ત્યારે મૅમલ બ્રેન Dopamine  રિલીસ કરતું હોય છે તેવી રીતે કોઈના ઉપર સત્તા જમાવવાનો ચાન્સ મળી જાય ત્યારે Serotonin સ્ત્રવતું હોય છે, અને જ્યારે કોઈની સાથે લાગણી વડે જોડાઈએ જે ભવિષ્યમાં સર્વાઇવલ માટે જરૂરી છે ત્યારે Oxytocin સ્ત્રવતું હોય છે.

મૅમલ બ્રેન વિષે પહેલા ખાસ કોઈ સંશોધન થયેલું નહોતું. અતિ પ્રાચીન લિમ્બિક સિસ્ટમ વિષે આપણે કશું જાણતા નહોતા. ભારતમાં તો આ વિષે કે બ્રેન વિષે કે મનોવિજ્ઞાન કે ન્યુરોસાયન્સ વિષે કશું સંશોધન થતું નથી. એવી બધી માથાકૂટ કોણ કરે? પશ્ચિમના વૈજ્ઞાનિકો કરશે પછી અપનાવી લેશું અને સાથે સાથે એ ભૌતિકવાદીઓને ગાળો દેતા જઈશું.

આપણે કોઈ એક નેતાને ગાળો દઈએ છીએ, પણ દરેક નેતાને ગાળો પડતી જ હોય છે, ગાંધીજી હોય, જવાહર હોય કે વલ્લભભાઈ એમના સમયમાં એમને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. કારણ  લોકો વધારે પાવરફુલ નેતાનો કે ગ્રૂપનો સાથ ઇચ્છતા હોય છે જેથી એમની પર્સનલ જરૂરિયાતો સંતોષી શકાય. અને તેવું બને નહિ તો હતાશ નિરાશ થઈ જતા હોય છે, અપસેટ થઈ જતા હોય છે. અને તે ગ્રૂપ છોડી દેતા હોય છે. કોઈના દ્વારા સત્તા ચલાવાય તેવું કોઈને ગમતું નથી, સાથે સાથે ભુલાઈ જતું હોય છે કે તેઓને પણ સત્તા ચલાવવાનું ગમતું જ હોય છે. સવાલ “આપણો સમાજ” નથી, સવાલ છે સુખ અર્પતા રસાયણોનાં સ્ત્રાવની ખોજનો.

હું હંમેશા લો-પ્રોફાઇલ રહ્યો છું, કોઈ મોટું પદ પ્રતિષ્ઠા ઇચ્છતો નથી, કે ડિઝાઇનર કપડા પહેરી કૉક્ટેલ પાર્ટીમાં જતો નથી. પણ હું હૅપી કેમિકલ્સ ઈચ્છું અને અનહૅપી કેમિકલ્સની અવગણના કરું તે સ્વાભાવિક છે. આપણે કાયમ હૅપી કેમિકલ્સનો ધોધ સદા વહે તેવી રીતે ઈવૉલ્વ થયા નથી, તેવી રીતે બન્યા નથી. હૅપી કેમિકલ્સની અવિરત શોધ માનવીને ક્યારેક સેલ્ફ destructive બનાવી દેતી હોય છે. અને વધુ દુખ પામતા હોય છે.

જો આપણે આપણી બ્રેન કેમિસ્ટ્રિ સમજી શકીએ તો દુઃખદાયી ઘટનાઓ નિવારી શકીએ છીએ. માનો કે મારા હૅપી કેમિકલ્સને મૅનેજ કરવાનું શીખી લઉં ,  છતાં મારે આ દુનિયામાં જીવવાનું છે જ્યાં દરેક જણ મૅમલ બ્રેન ધરાવે છે. અને દરેક જણ હૅપી કેમિકલ્સનો સ્ત્રાવ વધે તેમ ઇચ્છતા જ હોય છે. અને એના માટે જાતજાતના રસ્તા અખત્યાર કરતા હોય છે. અને દુઃખી કેમિકલ્સથી દૂર રહેવા ઇચ્છતા હોય છે. આમ  હું બીજા મૅમલ્સ વચ્ચે  અવશ્યંભાવી, અપરિહાર્ય મૅમલ છું.

ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન.

Photograph of Charles Darwin
Photograph of Charles Darwin (Photo credit: Wikipedia)

ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન  (Evolutionary psychology)

 

ભારતમાં મનોવિજ્ઞાનની બહુ કદર થતી નથી. મનોવિજ્ઞાન વિષય લઈને ભણનારા બહુ ઓછા લોકો હોય છે. મનોવિજ્ઞાનમાં ભારતીયોને ખાસ રસ હોતો નથી કે એનું મહત્વ પણ જણાતું નથી. અને એટલે જ ખૂબ પ્રાચીન સંસ્કૃતિ હોવા છતાં આપણે કોઈ ફ્રૉઈડ જેવો મનોવિજ્ઞાની પકવી શક્યા નથી. ફ્રૉઈડને આધુનિક મનોવિજ્ઞાનનો જનક કહેવામાં આવે છે. એના પછી ઍડલર, પછી કાર્લ જુંગ, આપણે આમાંનો કોઈ હજુ સુધી પકવી શક્યા નથી, ઇચ્છા પણ લાગતી નથી.

આટલાં મોટા ગુજરાત રાજ્યમાં સાઇકાયટ્રિસ્ટ કેટલા? કૉલિજમાં આર્ટસનાં વિદ્યાર્થી નાછૂટકે મનોવિજ્ઞાન લેતા હોય છે. આપણાં લેખકો, પત્રકારો પણ મનોવિજ્ઞાન વિષે ખાસ લક્ષ ધરાવતા નથી હોતા. આપણી કૉલિજમાં કોઈ જાતનું મનોવૈજ્ઞાનિક રિસર્ચ થતું નથી. પશ્ચિમના દેશો આ વિષે ખૂબ સંશોધન કરતા હોય છે. બહુ બહુ તો ભણવા ખાતર મનોવિજ્ઞાન ભણી લઈએ છીએ, પણ નવું એમાં કશું ઉમેરી શકતા નથી. અરે લેટેસ્ટ અપડેટ થયેલું મનોવિજ્ઞાન પણ કૉલિજોમાં ભણાવતા હશે કે કેમ?

સમાન્યતઃ શરૂઆત તો આપણે કરીએ છીએ, પણ પછી શું થાય છે કે બધું ઠપ્પ. ૨૫૦૦ વર્ષ પહેલા બુદ્ધે થોડા મનોવૈજ્ઞાનિક સત્યો કહેલા. ન્યુઅરૉ-સાયંસનાં ખાં લોકોના બુદ્ધ આજે પણ પ્રિય છે. આપણાં દરેક બુદ્ધીજીવીને જરા આગળ પ્રગતિ જણાય કે આધ્યાત્મિકતાનો આફરો ચડી જતો હોય છે, અને પ્રખર ચિંતક બનવાનો રોગ લાગી જતો હોય છે, આત્મસાક્ષાત્કારની પળોજણમાં એમની અંદર રહેલા પ્રતિભાના આત્માને ભૂલી જતા હોય છે.

એવી જ રીતે આપણે ઉત્ક્રાંતિના વિષયને પણ બહુ અગત્યતા આપતા નથી. આપણે ઉત્ક્રાંતિમાં ખાસ માની શકતા નથી. એટલે જ આપણે ડાર્વિન પકવી શક્યા નથી. આપણી પુનર્જન્મની ધારણા, લોક પરલોક, સ્વર્ગ, નર્ક, મોક્ષ વગેરે ધારણાઓ ઉત્ક્રાંતિના ક્રમ, વિકાસના ક્રમને માનવા ઇનકાર દેતી હોય છે. એક કોષી જીવથી માંડીને આજના મનુષ્ય સુધી બહુ લાંબી મજલ આપણે કાપી છે. પણ આપણે માની શકતા નથી. એક કોષી જીવનથી માંડીને આજે આધુનિક મનુષ્ય તરીકે જન્મ્યા તે પહેલાના તમામ જીવન વિશેના અનુભવ આપણે જીનમાં(Gene) સાથે લઈને જન્મ્યા છીએ તેને ઉજાગર કરવાનું વિજ્ઞાન એટલે ઇવલૂશનરી  સાઇકૉલોજી, ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન.

 ઇવલૂશનરી સાઇકૉલોજી મનોવિજ્ઞાન કરતા કંઈક વધુ છે. એમાં ખાલી મનોવિજ્ઞાન નથી. Human Nature, Social sciences, Psychology, physiology, evolutionary physiology, computational theory of mind, cognitive psychology, evolutionary biology, behavioral ecology, artificial intelligence, genetics, ethology, anthropology, archaeology, biology, zoology, sociobiology, આ બધું આમાં લક્ષ્યમાં લેવામાં આવે છે. એમાં ઇવલૂશનરી સાયન્સ, સાઇકૉલોજી અને ન્યુરોસાયન્સ પણ સમાયેલું છે. ઇવલૂશનરી સાઇકૉલોજીનાં મૂળિયા ડાર્વિનના થીઅરી ઑફ નૅચરલ સિલેક્શનમાં સમાયેલા છે. ડાર્વિને એના પુસ્તકમાં શું ભાખેલું તે જોઈએ,

“In the distant future I see open fields for far more important researches. Psychology will be based on a new foundation, that of the necessary acquirement of each mental power and capacity by gradation.”

—Charles Darwin, The Origin of Species, 1859, p. 449.

૨૦મી સદીના અડધમાં W.D.Hamilton નામના વૈજ્ઞાનિકે ૧૯૬૪મા Inclusive Fitness ઉપર એક રિસર્ચ પેપર પ્રસિદ્ધ કર્યું હતું અને Robert Trivers નામના વૈજ્ઞાનિકે ૧૯૭૨માં Reciprocity અને Parental investment એવી બે થીઅરી આપી જેણે મનોવિજ્ઞાનમાં ઉત્ક્રાંતિ વિષે વિચારવા વૈજ્ઞાનિકોને મજબૂર કરવાનું શરુ કર્યું. માનવ પોતાના જેનિસ(genes) દ્વારા એના અનુભવો સંતાનોમાં ટ્રાન્સ્ફર કરતો હોય છે. હેમિલ્ટનની થીઅરીએ માનવમાં પરોપકારની વૃત્તિ, આત્મબલિદાન, સ્વબલિદાનની ભાવના કઈ રીતે વિકસી તેનું કારણ  શોધી કાઢેલું. પરોપકાર, પરમાર્થ બલિદાન સાથે સ્વાર્થની ભાવના પૂર્વજો પાસેથી વારસામાં મળતી હોય છે. ઘણી જાતો પ્રજાતિઓ પુષ્કળ વારસો પેદા કરતી હોય છે અને કેટલીક જાતિઓ પ્રજાતિઓ ઓછા વારસદાર પેદા કરતી હોય છે. સર્વાઇવલની બધી ટેક્નિક છે. ઓછા પણ ખૂબ મજબૂત વારસો પેદા કરવા અથવા વધુ સંખ્યામાં પેદા કરવા જેથી સર્વાઇવ થઈ જવાય.

નૅચરલ સિલેક્શન, સેક્સ્યૂઅલ સિલેક્શન, અડૉપ્શન બધું આમાં આવરી લેવાય છે. આપણાં પૂર્વજો કેવી રીતે કઈ કઈ નવી ટેક્નિક વિકસાવીને સર્વાઇવ થયા હશે તે તમામ અનુભવો જેનિસ(Genes-જનિન તત્વ) દ્વારા આપણને મળતા જ હોય છે. અને હાલના આપણાં અનુભવો આપણે આપણાં સંતાનોમાં આપણે ટ્રાન્સ્ફર કરતા હોઈએ છીએ. આમ ઇવલૂશનરી સાઇકૉલોજીનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે.

પ્રાણીઓની વર્તણુકનો ખૂબ અભ્યાસ થઈ રહ્યો છે. કારણ આપણે પણ એક રીતે પ્રાણી જ છીએ. પ્રાણીઓ પાસેથી આપણને લિમ્બિક સિસ્ટમ(Limbic system) મળેલી છે. લિમ્બિક સિસ્ટમ ન્યુરોકેમિકલ્સ છોડે છે. લિમ્બિક સિસ્ટમ શબ્દોની ભાષા જાણતી નથી, એની ભાષા ન્યુરોકેમિકલ્સ છે. પ્રાણીઓ પણ હર્ષ શોક, પીડાની લાગણી અનુભવી શકે છે. ઉત્ક્રાંતિના ક્રમમાં લાખો કરોડો વર્ષો થયા છે માનવ અવસ્થાએ પહોચતા. જેથી લાખો કરોડો વર્ષોના અનુભવો આપણાં જીનમાં છે. માનવીય વર્તણૂક ઉપર આ બધાની શું અસર પડતી હોય છે તેનો સમાવેશ અને અભ્યાસ આમાં થતો જ હોય છે.

હું પુનર્જન્મમાં માનતો નથી, કે હું ફરી જન્મ લઈશ, પણ મારા જીન(Gene) મારા ત્રણ દીકરાઓમાં છે. એ રીતે મારો પુનર્જન્મ થઈ ચૂક્યો છે. પણ એક સમયે આ જેનિસ(Genes) જીવ જંતુ, સરીસર્પ, પશુ, એપ્સ અને આદિમાનવ હશે. આજે મારામાં આધુનિક માનવ તરીકે લાંબી મજલ કાપીને ઉપસ્થિત થયા છે, અને આમ આગળ વધતા જશે, નવી નવી પરિસ્થિતિઓને અનુકૂળ થતા જશે, યેનકેન પ્રકારે સર્વાઇવ થતા જશે, અને તમામ અનુભવો સાથે આગળ વધતા જશે, ઇમ્પ્રૂવ થતા જશે. એટલે જ મારી રીતે ઇવલૂશનરી સાઇકૉલોજીને જન્મોજન્મના સંસ્કારનું વિજ્ઞાન સમજુ છું.

 

ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન

मा फ़लेशु कदाचन (Hard Truths About Human Nature)

मा फ़लेशु कदाचन(Hard Truths About Human Nature)

 આપણે માનવો આંબો વાવવા માટે ટેવાયેલા છીએ. એનું ખૂબ કાળજીથી જતન કરીએ છીએ. નિયમિત પાણી દઈએ છીએ. કોઈ પ્રાણી એનો નાશ કરી ના જાય માટે એની આજુબાજુ નાનકડી વાડ બનાવીએ છીએ. આપણને ખબર હોય છે કે એની કેરીઓ ખાવા નથી મળવાની. પશુઓ ખાલી બચ્ચાં પેદા કરવા પૂરતું ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે અને માનવો બાળકોના બાળકોનું પણ જતન કરીએ છીએ. જેથી તેઓ એમની રીતે નવી કેડી કંડારીને એમની રીતે જીવી શકે. આપણે વારસો મૂકતા જઈએ છીએ. કારણ આપણે માનવો છીએ.

વારસામાં આપણે ખાલી બાળકો જ મૂકતા નથી જતા. બીજું ઘણું બધું મૂકતા જઈએ છીએ. વારસામાં ખાલી આપણાં જીન મૂકતા જઈએ તેટલું પૂરતું નથી. પણ એ જેનિસ ખૂબ સારી રીતે ભવિષ્યમાં જીવે તેવું ઘણું બધું મૂકતા જઈએ છીએ. નવા વિચારો, નવી નવી શોધો, નવા નવા આદર્શો, નવી નવી પદ્ધતિઓ ઘણું બધું મૂકતા જઈએ છીએ. ભલે  એના ફળ આપણને ચાખવા ના મળે. આપણો યુનિક અર્ક અસંખ્ય રૂપે જીવતો હોય છે.

          Reproductive સફળતાને મદદરૂપ થાય તેવું કઈ પણ કરીએ ત્યારે Mammalian limbic સિસ્ટમ હૅપી કેમિકલ્સનો સ્ત્રાવ કરે છે. તમે ભલે reproductive success  માટે  ચિંતિત ના હોવ,  પણ તમારા હૅપી કેમિકલ્સ એની ચિંતા કરતા જ હોય છે. કુદરતનો આભાર માન્યા વગર પશુઓ ફક્ત એમના જેનિસ સર્વાઇવ થાય તેની ચિંતા અભાનપણે કરતા હોય છે. પશુઓ એ જ કરતા હોય જે એમના હૅપી કેમિકલ્સના સ્ત્રાવ માટે કારણભૂત હોય અને દુખ પમાડે તેવાને અવૉઈડ કરતા હોય છે.

              આપણું બ્રેન આપણે વારસામાં શું મૂકતા જઈએ છીએ તેનું અભાનપણે ચિંતા કરતું હોય છે, કારણ તે આપણાં હૅપી કેમિકલ્સનાં સ્ત્રાવ માટે કારણભૂત બનતું હોય છે. જરૂરી નથી કે વારસામાં ધનની મદદ વડે ચણેલી કોઈ મોટી ઇમારત મૂકતા જવું, કે પૌત્રપૌત્રાદીને કોઈ વાનગીની રૅસિપિ શીખવતા જવું. વારસામાં એક જ્ઞાનનું બીજ રોપતા જવું જે કાલક્રમે ફૂટીને વૃક્ષ બની જશે તેવો વિશ્વાસ હોવો જરૂરી છે.

એક વૈચારિક આંબો રોપતા જવું ભલે એની કેરીઓ ચાખવા પોતાને કદી મળે નહિ. બહુ અઘરું છે આવું કરવું, પણ વિચારો આજે આપણે ઘણું સારું જીવન જીવી રહ્યા છીએ કે ખૂબ સારા ફળ પ્રાપ્ત કરી રહ્યા છે કે એના બીજ આપણાં પૂર્વજોએ વાવેલા છે, જેઓ એના છોડ પર ખીલેલા સુંદર ફૂલ જોવા આજે જીવતા નથી.

Gregor mendel જિનેટિક્સનાં શોધક, એમના મૃત્યુના ૨૦ વર્ષ પછી એમની પોતે પબ્લિશ કરેલી સંશોધન બુક ઉપર વૈજ્ઞાનિકોનું ધ્યાન ગયું હતું. અને આજે ત્યાર પછીના વૈજ્ઞાનિકોએ જિનેટિક ને એક મહાવૃક્ષ રૂપે વિકસાવી દીધું છે. લગભગ મોટાભાગના લોકો એમના વાવેલા વૃક્ષોનાં ફળ ચાખ્યા વગર મૃત્યુ પામતા હોય છે.  ક્રિસ્ટોફર કોલંબસને મરતાં સુધી ખબર નહોતી એણે કોઈ ખંડ શોધી કાઢ્યો છે. વિન્સેન્ટ વાન્ગૉંગ અમૂલ્ય ચિત્રો મૂકતો ગયેલો એક પણ સેન્ટ કમાયા વગર. તિલક અને ગોખલે જેવા અનેક સ્વતંત્રતા માટે લડેલા સેનાનીઓ લાલ કિલ્લા ઉપર લહેરાતો તિરંગો જોવા જીવ્યા નહોતા.

આશરે ૬૦૦ વર્ષ પહેલા જૂનાગઢના ઉચ્ચ ગણાતા બ્રાહ્મણ નાગરી નાતના નરસિંહ મહેતાએ અસ્પૃશ્યતા નિવારણ માટેનું એક નાનકડું બીજ હરીજનવાસમાં ભજન ગાઈને રોપેલું.  એના ૫૦૦ વર્ષ પછી પોરબંદરના મોહનદાસ કરમચંદ ગાંધી નામના વણિકે એને ખૂબ પાણી પાયું. અને આજે ? જો લોકો એવું વિચારે કે હું જે વાવું તેના ફળ મને આજે જ ચાખવા મળવા જોઈએ, બાકી વાવું નહિ, તો આજે આપણે જે નવી દુનિયા જોઈ રહ્યા છીએ તે હોય નહિ.

૨૫૦૦ વર્ષ પહેલા ભારતે દુનિયાને લોકશાહીનો આદર્શ એક બીજ રૂપે આપેલો. આજે લગભગ થોડાક દેશો બાદ કરતા બધે લોકશાહી ચાલે છે. આજે આકાશે આંબતી ઈમારતો જોઈએ છીએ એનું કારણ છે ઈસુના ૩૩૦૦ વર્ષ પહેલા શૂન્યની શોધ પહેલા ભૂમિતિનું જ્ઞાન હરપ્પન લોકોને હતું.

ચાખવાનો આનંદ માણ્યાં વગર સુંદર ફળ  ઊતરશે જ એવી દ્રષ્ટિ કેળવતા નવું નવું વાવેતર કરતા જવું એનું નામ જીવન. ઘણીવાર નિરાશા ઊપજતી હોય છે કે દુનિયા તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ મળતો હોતો નથી. કે દુનિયા અને લોકો આપણાં કરેલા કામને કે વાવેતરને નજર અંદાજ કરતી હોય છે, ધ્યાનમાં લેતી નથી. અહી જ શ્રી કૃષ્ણે કહ્યું છે કે નિષ્કામ ભાવે કર્મ કરે રાખ કે અનાસક્ત થઈને કામ કરે રાખ. કારણ તમે દુનિયાને કંટ્રોલ કરી ના શકો. છતાં પ્રમાણિક બનીને કહું કે નિરાશા તો થાય જ છે કે ફિલૉસફી પુસ્તકોમાં સારી લાગતી હોય છે.

પશુઓ એમના જીનને જીવતા રાખવા માટે ખૂબ જહેમત ઉઠાવતા હોય છે, પણ અચેતન રૂપે. તેઓ સભાનપણે જાણતાં નથી હોતા છતાં જહેમત કરે રાખતા હોય છે, જીવ સટોસટની લડાઈ લડે રાખતા હોય છે. બસ એમના હૅપી કેમિકલ્સ સ્ત્રવે તેવું કરે રાખવું અને દુઃખ પમાડે તેવા રસાયણ સ્ત્રવે તેને અવૉઇડ કરવું. એમની પાસે પૂરતા ન્યુરૉન્સ હોતા નથી કે ભવિષ્યની કલ્પના કરે. તેઓ જાણતા હોત નથી કે એમના વગર પણ દુનિયા એક દિવસ ચાલવાની જ છે. આપણે માનવો પાસે પુષ્કળ ન્યુરૉન્સ છે,  ભવિષ્યની કલ્પના છે. આપણને આપણી મરણશીલતાનું  મહાભારે બોજરૂપ જ્ઞાન છે.

 આપણું cortex આપણાં પોતાના મૃત્યુની એક અમૂર્ત છબી ઉપજાવી શકે છે,  જે આપણા સર્વાઇવલ કેન્દ્રિત reptile બ્રેનની બહાર જઈને આપણને દિવસના જીવંત અજવાળાથી પણ ડરાવે છે. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે દ્રાક્ષ ખાટી છે છોડો, ઘણીવાર વિચારીએ છીએ કે દુનિયા ગઈ ભાડમાં આપણે શું ? અને ઘણીવાર આપણે દુનિયાને બદલી નાખીએ તેવો અહંકાર લઈને દોડીએ છીએ. દુનિયા એક વહેતો મહાસાગર છે, આપણે એને સ્થિર કરીને આપણી એક છાપ એના ઉપર મારવા ઇચ્છીએ છીએ. પણ એવું થતું નથી. આખી દુનિયા તમે બદલી શકો નહી.

પશુઓ શું કરે છે એમનો વારસો બચાવવા ? એક પછી એક પડકાર ઝીલીને પાર ઊતરે છે અચેતનરૂપે, અભાનપણે. આપણે સર્વાઇવલ માટેના પડકારો સર્જનાત્મક રીતે જીતી શકીએ. આપણે નવી નવી સર્જનાત્મક સર્વાઇવલ સ્કિલ વારસામાં મૂકી જઈ શકીએ છીએ  અને એ રીતે દુનિયા ઉપર એક સિક્કો મારી શકીએ. એક નવો વિચાર, એક નવો આદર્શ, એક નવું સંશોધન, એક નવું વિજ્ઞાન, એક નવું બીજ રોપી શકીએ. જેના ફળ આપણાં વારસદારોને ચાખવા મળે. અને એ રીતે આપણાં જેનિસ જીવતા રહે.  વૈજ્ઞાનિકોનું નવું સંશોધન કહે છે કે આપણે આપણાં અનુભવોમાંથી કેળવેલા વિશિષ્ટ ગુણ,  વિશિષ્ટ લક્ષણ,  લાક્ષણિકતા,  ખાસિયત આપણાં વારસદારોમાં જેનિસ દ્વારા મોકલી શકીએ છીએ. પશુઓ એમના જેનિસ ફેલાવવા માટે ખૂબ મથતાં હોય છે સાથે સાથે એમના જીવનના અનુભવો એમના વારસોમાં દાખલ કરતા હોય છે. આપણાં અનન્ય અનોખાં જીવનનાં અજોડ અનુભવો દ્વારા ઘડાયેલા અનુપમ જેનિસનું ફળ એટલે આપણો વારસો.

 

સતત સુખ પામવાની ચિંતામાં દુખી થયા કરવું ? Hard Truths About Human Nature.

સતત સુખ પામવાની ચિંતામાં દુઃખી થયા કરવું   ???

English: Modified version of Dopamineserotonin...
English: Modified version of Dopamineserotonin.gif. (Photo credit: Wikipedia)

 આપણે કાયમ સુખી રહેવા ઇચ્છતા હોઈએ છીએ.પણ તે શક્ય નથી. હર્ષ અને શોકની લાગણી વારાફરતી આવતી જતી હોય છે.એટલે ડાહ્યાં માનવોએ સુખ અને દુખને એક સિક્કાની બે બાજુ ગણાવ્યા છે. હવે હૅપી કેમિકલ વિષે આપણે જાણી ચૂક્યાં છીએ. આ રસાયણો સતત સ્ત્રવે નહિ. એક સમયે એનો ડૉસ ટોચ ઉપર પહોચી જાય તો એકદમ ઉલ્લાસ ઉલ્લાસ જણાય છે, પણ તરત જ આ રસાયણ એની નૉર્મલ ગતિ તરફ પ્રયાણ કરતું હોય છે. બસ ત્યાં તકલીફ શરુ થઈ જાય છે. બ્રેન વિચારવા લાગે કે કશું ખોટું થયું છે. સુખની ચરમસીમા કાયમ ટકતી નથી. આમ તો પરિસ્થિતિ સામાન્ય જ હોય છે. પણ એકવાર મોટો ડૉસ આનંદનો મળી જાય તો સામાન્ય ડૉસ ઓછો લાગે તેવું છે.

ગોળ ખાધા પછી ચા પીએ તો મોળી લાગે છે. એ જ ચા રોજ મીઠ્ઠી લગતી હોય છે. એમાં શુગરનું પ્રમાણ રોજના જેટલું સરખું હોય છતાં ગોળ ખાધા પછી ફિક્કી લાગશે. બસ આવું જ આપણને લાગતું હોય છે. કોઈ મિત્ર ઘણા દિવસે મળવા આવે તો હર્ષ અને ઉલ્લાસથી મન આનંદિત થઈ જાય છે, પણ એ ગયા પછી એક બેચેની, એક ઉદાસી છવાઈ જતી હોય છે, દુખી થઈ જવાતું હોય છે. કેમ ? ઑક્સિટોસિન લેવલ જે હાઈ થયું હોય તે નૉર્મલ થઈ જતા આવું બનતું હોય છે.

ન્યુરોકેમિકલ્સ કાયમ ટોચ ઉપર રહે નહિ. એમાં ચડાવ ઉતાર આવતો હોય છે. આવા સમયે નકારાત્મક વિચારો કરવાને બદલે સમજવું જોઈએ કે કેમિકલ્સ એની નૉર્મલ સ્થિતિએ પહોચી ગયું છે જે જરૂરનું છે, નહી તો ઇમર્જન્સી વખતે કામ શું લાગશે ? હવે તો મારા વાચક ને ખબર છે કે  dopamine,  serotonin,  endorphins,  oxytocin  જુદી જુદી જાતની  happiness  અર્પતા હોય છે.

કોઈ રેસ, હરીફાઈ કે કોઈ કામ પત્યા પછી આપણને થોડું ખરાબ લાગણી થતી હોય છે, કોઈ ઉદાસી છવાઈ જતી હોય છે. પછી એના કારણો શોધવા ઊંડા ઊતરી જતા હોઈએ છીએ.કે ભાઈ બરોબર દોડી શક્યા નહિ. કે ઇનામ મળ્યું નહિ. કે રમતની પસંદગી ખોટી થઈ ગઈ, કે પછી કામ કર્યું પણ સમાજે કે લોકોએ એનો આભાર માન્યો નહિ. કે લેખ તો નવો ખૂબ જહેમત કરીને મૂક્યો પણ મિત્રોએ જોઈએ તેવા પ્રતિભાવ આપ્યા નહિ.

માનો કે રમત જીતી ગયા છતાં dopamine નું સ્તર છેક ટોચ ઉપર પહોચેલું જેણે ખૂબ આનંદ આપ્યો તે ત્યાં કાયમ તો રહેવાનું નથી. એટલે જીત્યા પછી પણ ઉદાસી તો આવવાની જ. અને ભલે આ નેગેટિવ લાગણીની ઉપેક્ષા કરો, પણ ઠંડી ઉદાસી થોડું દુખ તો રેવાનું જ કે પેલું ગોળ ખાધા પછી ચા ફિક્કી લાગે તેમ. તો જે સારી ખોટી લાગણી પેદા થાય તે કેમ થઈ એની ચિંતા કર્યા વગર એને સ્વીકારી લેવી તે જ ઉત્તમ ઉપાય જેથી ફરી પાછું dopamine તેની તીક્ષ્ણ ધાર બતાવી શકે. આનું લેવલ ઊંચું રાખવાની મથામણમાં ચિમ્પૅન્ઝી સમય બરબાદ કરતી આખો દિવસ ઉધઈ ખોતરીને ખાવાની ચેષ્ટા કર્યા કરતા હોય છે.

કોઈ રમત રમતી વખતે પગ મચકોડાઈ ગયો, પણ ચાલુ રમતે એનો અહેસાસ નહિ થાય, કેમ? Endorphin હાજર છે. પણ રમત પૂરી થયા પછી દુખાવો શરુ થવાનો ત્યારે થશે કે પગ મચકોડાયો ત્યારે કેમ કશું થયું નહિ ? બસ દુઃખી થઈ જવાનાં એક તો શારીરિક પીડા અને ઉપરથી માનસિક.

કોઈ સામૂહિક કામ લઈને બેઠાં હોઈએ, કોઈ સમાજનું કે જ્યાં એક માણસનું કામ ના હોય ટીમ વર્કની જરૂર પડે. એકબીજાના વિશ્વાસે કામ ચાલતું હોય ત્યાં કોઈ સાથી આડો ફાટે કે જરા વિરોધ વ્યક્ત કરે કે કોઈ ખુલાસો પૂછે તો એવું થશે કે કોનો વિશ્વાસ રાખવાનો ? દુઃખી દુઃખી થઈ જવાતું હોય છે. Oxytocin લેવલ અહી જરા ઓછું થઈ જતું હોય છે. આનું લેવલ કાયમ ઊંચું રાખવાની મથામણ દુખ નોતરતી હોય છે. આનું લેવલ જાળવી રાખવા વાનરો એકબીજાના વાળ સતત ફંફોસ્યા કરતા હોય છે.

કોઈ પરિષદના મુખ્ય મહેમાન હોઈએ ભાષણ વગેરે કે ઉદ્ઘાટન વિધિ પતિ ગયા પછી થોડી વાર એક અજંપો છવાઈ જતો હોય છે. Serotonin લેવલ નૉર્મલ થઈ જતા આવું થતું હોય છે. આનું લેવલ સતત ઊંચું રાખવાની મથામણ કરતા ચિમ્પ બુમો પાડતા ચિચિયારીઓ પાડતાં હોય છે અને બીજા સાથીદારોને મારતા હોય છે.

આપણું Cortex જાણતું નથી હોતું કે કેમ સુખ અર્પતા રસાયણો એકદમ ઓછા થઈ ગયા ? લિમ્બિક સિસ્ટમ જે આ ન્યુરોકેમિસ્ટ્રીને કંટ્રોલ કરતી હોય છે તે આપણને પ્રાચીન મૅમલ્સ તરફથી વારસામાં મળેલી છે જે કોઈ શબ્દોની ભાષા જાણતી નથી. એને તો એક સીધી સાદી રીત આવડે છે કે સર્વાઇવ માટે સારું હોય ઉપયોગી હોય ત્યારે હૅપી કેમિકલ્સ છોડો અને સર્વાઇવ માટે ખરાબ હોય ખતરો હોય ત્યારે અનહૅપી કેમિકલ્સ છોડો.

હવે સર્વાઇવલ માટેની પરિભાષા લિમ્બિક સિસ્ટમ માટે અને cortex  માટે અલગ અલગ હોય છે. કારણ cortex  શીખે છે આપણાં અનુભવો ઉપરથી જ્યારે લિમ્બિક સિસ્ટમ આપણાં પૂર્વજો કે જેઓ પ્રાણીઓ હતા તેમને જે જરૂર લાગી હોય તેના સંદર્ભમાં તૈયાર થયેલી અને વારસામાં મળેલી હોય છે. કૉર્ટેક્સમાં વાયરિંગ બચપણથી થયેલું હોય છે. માટે જ્યારે કોઈ નવો અનુભવ થાય છે છતાં આપણે કશું શીખતા નથી.અને એના દોરવાયા દોરવાઈ જઈને પછી વિમાસણ અને નિરાશામાં ઘેરાઈ જઈએ છીએ. સિવાય કે નવું વાયરિંગ કરીને નવો ન્યુઅરલ રાજમાર્ગ બનાવીએ.

એટલે સતત સફળતા તો મળે નહિ. બધાને કાયમ નંબર વન ઉપર પહોચવું હોય પણ પહોચવાનો તો એક જ. એટલે નિષ્ફળતા મળે એટલે દુખી થઈ જવાના. ત્યારે ઍડીસનનું વાક્ય યાદ કરવું કે  “I have not failed. I’ve just found 10,000 ways that won’t work.”

 

 

 

કુદરતનું અણમોલ સાંનિધ્ય.Hard Truths About Human Nature.

Meridian Ave northbound at North Dr, Colorado ...
Image via Wikipedia

કુદરતનું અણમોલ સાંનિધ્ય.Hard Truths  About  Human  Nature .

સૂર્ય પ્રકાશ આપણને સુંદર સુકોમળ બનાવે છે.સૂર્યના પ્રકાશ વડે દિવસ ઝગમગતો હશે ત્યારે આપણે કોઈ પણ સર્વેના ઉત્તર વધુ સારી રીતે આપતા હોઈ છીએ.આવા દિવસોમાં હોટેલ કર્મચારી ટીપ વધુ મેળવતા હોય છે.આવા દીવસે આપણે માનસિક રીતે પ્રફુલ્લિત હોઈએ છીએ અને તે મૂડ જાળવી રાખવાનું ઇચ્છતા હોઈએ છીએ. આભ વાદળ છાયું હોય ત્યારે ફક્ત ભણવાની ઇચ્છા ધરાવનારા જેમના જીવનમાં વિદ્યા પ્રાપ્ત કરવી મહત્વનું છે તેવા વિદ્યાર્થીઓ એડમીશન વધુ લેતા હોય છે,અને જ્યારે દિવસ સૂર્ય પ્રકાશથી ભરેલો હોય તેવા દિવસોમાં સામાજિક પ્રકારના વિદ્યાર્થીઓ પ્રવેશપત્રો વધુ ભરતા હોય છે.વાદળછાયો દિવસ ઘરમાં રહીને અભ્યાસ કરો તેવું સૂચવતો હોય છે. સુર્યપ્રકાશ શેર બઝારને ઉત્તેજન આપે છે.ઇન્વેસ્ટર આવા દિવસે આનંદિત હોય છે અને વધારે રોકાણ કરતા હોય છે.વાદળછાયા દિવસો કરતા ત્રણ ઘણું રોકાણ થતું હોય છે.
વાદળછાયા દિવસે વેધર ખરાબ હોય ત્યારે મૂડ સારો હોતો નથી,એમાં નિર્ણય લેવાની શક્તિમાં ગરબડ થઈ જાય છે એમાં લોકો લોટરીની ટીકીટ વધુ ખરીદતા હોય છે.ગરમ દિવસોમાં આત્મ હત્યા વધુ થતી હોય છે.અંતિમ નિર્ણય લેવામાં સુર્યપ્રકાશ હિંમત અર્પે છે એમાં આવા ખરાબ નિર્ણયો પણ આવી જાય. સુર્યપ્રકાશ ઓછો હોય તે દિવસે એની પૂર્તિ કરવા મૂડ સુધારવા જાતને ઉત્તેજિત કરવા આલ્કોહોલ,કોફી,ચોકલેટ તંબાકુ અને ચા વગેરેનું સેવન વધુ થતું હોય છે.
ચાલો જોઈએ અમેરિકાના મોટા શહેર દિવસમાં કેટલો સમય સુર્યપ્રકાશ મેળવે છે?
Phoenix: 10.3
Los Angeles: 8.8
Atlanta: 7.6
New York: 7.4
Chicago: 7.2
Seattle: 5.6
*૪૫ મિનિટ કોઈ સુંદર વન ઉપવન બાગ બગીચામાં ચાલવા નીકળો તો આપણી ચિંતન મનન શક્તિમાં વધારો થાય છે.એટલો વધારો કોઈ માર્કેટમાં કે સિમેન્ટના જંગલમાં ફરવા નીકળો તો નહિ થાય.કારણ શહેર વિસ્તારમાં તમારા બ્રેઈનને ઘણું બધું કામ કરવું પડતું હોય છે,ટ્રાફિકનું ધ્યાન રાખવાનું,વાહન વ્યવહારના ઘોંઘાટ,જાહેરાતોના બોર્ડ લોકોની અવરજવર,અતિશય ભીડભાડ વગેરેનું બ્રેઈન વિશ્લેષણ કર્યા કરતું હોય છે.જ્યારે વન ઉપવનમાં કુદરતનું સામ્રાજ્ય ફેલાયેલું હોય ત્યાં ગ્રીનરી બ્રેઈનને એક જાતનો આરામ અર્પે છે.
અમેરિકામાં ૭૦% લોકો શહેરોમાં રહે છે,એમને ગ્રીનરી કેટલી ઉપલબ્ધ છે તેમના શહેરોમાં જે તે શહેરની સાઇઝના પ્રમાણમાં તે જોઈએ.
25.7% New York

19.8% San Francisco

19.1% Washington, DC

15.7% Boston

12.4% Philadelphia

9.9% Los Angeles

8% Chicago.

સ્ત્રીઓને બહાર હરિયાળા વાતાવરણમાં ફરવાનું બહુ ગમતું હોય છે,એનાથી એમની આત્મશક્તિમાં વધારો થતો હોય છે,પોતાની જાતમાં સન્માનની ભાવનામાં વધારો થતો હોય છે.ગુલાબના ફૂલોની મહેક સ્ત્રીને પ્રેમની લાગણીથી તરબતર કરી દેતી હોય છે.સ્ત્રીને મોકો મળે એના સાથી સાથે સહ્ચર્યનો તરત એને બહાર કુદરતના સાંનિધ્યમાં ફરવા જવાનું મન થઈ જાય છે.(Colorado State University researcher Gretchen Nurse). ગાર્ડનીંગ કરવું ખૂબ સારું છે.થોડા શાકભાજી ઉગાડવા જોઈએ.એનાથી એકતો તાજાં શાકભાજી ખાવા મળશે.તંદુરસ્તીમાં વધારો,કસરતની કસરત.માટીનો સંસર્ગ થવાથી એમાં રહેલા વિપુલ માઈક્રોબ્સ તમારી ઈમ્યુન સિસ્ટમમાં વધારો કરતા હોય છે.સ્ત્રીઓને ગાર્ડનીંગ અને પ્લાન્ટિંગ કરવાનું ખૂબ ગમતું હોય છે.

આપણા પૂર્વજો જંગલોમાં લાખો વર્ષ રહેલા છે.કુદરતના સાંનિધ્યમાં રહેલા છે.કુદરત સાથે પૂર્વજોનો નાતો લાખો વર્ષનો છે.મેમલીયન બ્રેઈન એ રીતે ઇવોલ્વ થયેલું છે.પક્ષીઓનો કલબલાટ.એમનું ચી..ચી..ચી..એમનું ટ્વીટ્સ શરીરની હેલ્થ અને હેપીનેસ માટે ઉપયોગી છે.પક્ષીઓ ખાલી કલબલાટ કરતા હોતા નથી.એમના પ્રિયજનને મેટિંગ માટે સાદ દેતા હોય છે,એમના જોડીદારને ખતરાથી ચેતવતા હોય છે.એમના વિસ્તારનું આધિપત્ય જતાવતાં હોય છે.તેઓ મધુર રાગ રાગિણી છેડતા હોય છે.જોડીદારને સુંદર સ્વરમાં સંદેશા મોકલતા હોય છે.આ બધું  લાખો વર્ષ,કરોડો વર્ષથી આપણને મળેલા મેમલીયન બ્રેઈનમાં સંગ્રહાયેલું હોય છે.એટલે વન ઉપવનમાં  ફરવા જઈએ તો ખૂબ મજા પડી જાય છે.mammalian બ્રેઈનને મળેલી યાદો પક્ષીઓના અવાજ સાંભળી તરોતાજા થઈ જાય છે.અને એનાથી તમારી પ્રયત્ન વગરની જાગરૂકતા પાછી આવે છે,સચેત રહેવાની ક્ષમતા કેળવાય છે અને તણાવ દૂર થાય છે.વસંત ઋતુમાં પક્ષીઓ દિવસે કોરસમાં ખૂબ ગાતા હોય છે.માનવ લાખો વર્ષ જંગલમાં રહેલો છે.આ સમૂહગાન બોડી ક્લૉકને ઠીક કરવામાં મદદ કરે છે જેનાથી તંદુરસ્તી માટે ફાયદો જ હોય ને?બોડી ક્લૉક ઠીક થાય તો ઊંઘ સારી આવે અને મૂડ પણ સારો રહે.

માઈન્ડનાં સ્નાયુ છે બ્રેઈન.જેમ શરીરના સ્નાયુઓને કસરતની જરૂર છે તેમ બ્રેઈનને પણ કસરતની જરૂર છે.નિયમિત રોજ નહીતો અઠવાડિયે ત્રણ વાર બહાર ૪૦ મિનિટ ચાલવા જનાર અને સ્ટ્રેચિંગ કસરત,એરોબિક કસરત,યોગા કરનારના બ્રેઈનને ફાયદો થાય છે.સ્મરણ શક્તિ માટે જવાબદાર Hippocampus વોલ્યુમમાં વધારો થાય છે તેવું લેટેસ્ટ સંશોધન બતાવે છે.spatial memory performance ઈમ્પ્રુવ થાય છે.તો રોજ ચાલો અને Hippocampus ને સંકોચાતું બચાવો.

શહેરમાં અને તે પણ મોટા શહેરોમાં રહેનારા ખૂબ તણાવયુક્ત જીવન જીવતા હોય છે.ગ્રામ્ય  વિસ્તારમાં તણાવ ઓછો હોય છે.તણાવના લીધે બ્રેઈન સ્ટ્રેસ હાર્મોન Cortisol વધારે છોડતું હોય છે.કાયમ તણાવમાં રહેનારનું Cortisol લેવલ હાઈ થઈ જાય તો બ્રેઈનના amygdala અને cingulate cortex વધારે એક્ટીવ થઈ જતા હોય છે.Amygdala ભાવનાઓ અને લાગણીઓ માટે જવાબદાર હોય છે.cingulate cortex નકારાત્મક લાગણીઓ જેવી કે શંકા,અવિશ્વાસ,ભય વગેરે વધારવામાં Amygdala ને મદદ કરે છે.સતત તણાવ બેચેની અને નકારાત્મક લાગણીઓ વધારે છે.શહેરી જીવનના ફાયદા જુદા હોય છે.જરૂર છે થોડી લાઇફ સ્ટાઇલ બદલવાની.થોડા કુદરતના સાંનિધ્યમાં જીવવાની ટેવ પાડવાની.

આવો છે કુદરતનો કરિશ્મા.