Category Archives: Evolutionary Psycology

કાયદો પહેલો કે માણસ?

 untitledકાયદો પહેલો કે માણસ?

ભારતમાં પહેલા માણસ જોવાય છે, પછી કાયદો. હું એકવાર વડોદરામાં ન્યાયમંદિર બાજુ ફરતો હતો. પદ્માવતી શોપિંગ સેન્ટર બાજુથી એક કાયનેટીક હોન્ડા જેવા સ્કૂટર માથે ત્રણ છોકરા બેઠેલા ધમધમાટ કરતા લહેરીપુરા ગેટ બાજુથી સાધના ટૉકીઝ બાજુ જતા હતા. હું ત્યાં ફુવારા પાસે ઊભો હતો. ત્રણ સવારી અને તે પણ લાઇસન્સ ના હોઈ શકે તેવડા ત્રણ છોકરા જોઈ ત્યાં ઊભેલા એક સામાન્ય પોલીસવાળાએ પેલાં છોકરાઓને ઉભા રાખી ત્યાંની ભાષા પ્રમાણે મેમો આપી દીધો. થોડી રકઝક ચાલી, છોકરાઓ દાદાગીરી કરવા લાગેલા. પછી મને જાણવા મળ્યું કે સ્થાનિક ધારાસભ્યનો છોકરો સ્કૂટર ચલાવતો હતો અને એના મિત્રો પાછાં બેઠેલા હતા. વાત આગળ વધી ગઈ, બીજે દિવસે જાણવા મળ્યું કે પેલાં પોલીસવાળાને સસ્પેન્ડ કરવા સુધી વાત પહોચી ગયેલી, ધારાસભ્ય સમાધાન કરવા રાજી નહોતા, એક ધારાસભ્યના છોકરાને અટકાવવા બદલ તેને પૂરી સજા કરવાની હતી પણ મોટા સાહેબોએ દરમ્યાનગીરી કરી હોય કે પોલીસવાળો કરગરી પડ્યો હોય તેની ત્યાંથી બદલી કરી નાખવામાં આવેલી. મારા એક રીલેટીવ દાંડિયા બઝાર બાજુ એક પોલીસ ચોકીમાં ફોજદાર હતા તો હું કોઈ વખત ત્યાં બેસવા જતો. તેમણે પણ ઉપરોક્ત બનાવની ચર્ચા કરતા કહ્યું પેલાં પોલીસવાળાએ પ્રેક્ટીકલ બનવું જોઈતું હતું. ધારાસભ્યનાં છોકરા જોડે પંગો નહોતો લેવા જેવો..

આ જે કાયદાપાલનમાં પ્રેક્ટીકલ બનવાની માનસિકતા સમગ્ર ભારતમાં છે તે ઓળખી લેવી જોઈએ. હું પોતે પણ આ સિસ્ટમમાં ૫૦ વર્ષ જીવ્યો જ છું. ભારતમાં માણસ પહેલો જોવાય છે કાયદો પછી જ્યારે અમેરિકામાં કાયદો પહેલા જોવાય છે માણસ પછી, કાયદા આગળ લગભગ માણસ જોવાતો જ નથી કે તે કોણ છે? એટલે આ બે દેશો વચ્ચે કાયદાપાલનની બાબતમાં જે મૂળભૂત ડિફરન્સ છે તે ઓળખી લેવો જોઈએ. એટલે દેવયાની જેવા કહેવાતા મોટા માથાને અમેરિકન સરકાર એક સામાન્ય માનવીની જેમ કાયદાપાલન વિષે ટ્રીટમેન્ટ આપે ત્યારે સમગ્ર ભારતની એવરીજ માનસિકતાને ધક્કો લાગે છે. માનવી સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલો છે અને સમૂહને વ્યવસ્થિત ચલાવવા કાયદા-કાનૂન, નિયમો બનાવવા પડતા હોય છે. એકલદોકલ વ્યક્તિ એના ફાયદા માટે આખા સમાજનો નિયમ તોડે તો સમાજ ખોરવાઈ જવાનો.

કાયદા આગળ સર્વ સમાન તેવું આપણી માનસિકતામાં જલદી ઊતરે જ નહિ માટે નક્કી કોઈ કાવતરું હશે તેવું માનવા મન પ્રેરાય છે. અને કાવતરું જ છે તેવું સાબિત કરવાના પ્રયત્નો પણ ચાલુ થઈ જતા હોય છે. એમાં આખો દેશ તણાઈ જાય કારણ આખા દેશની માનસિકતા સરખી જ રહેવાની. મીડિયા હોય કે સોશિઅલ મીડિયા હોય કે નેતાઓ હોય એવરીજ માનસિકતા તો સરખી જ હોય ને? અરે આવી ભેદભાવભરી સિસ્ટમમાં જેને અન્યાય થયા હોય તેમની માનસિકતા પણ એવી જ હોય છે. બહુ ઓછા લોકો આ દેશમાં એવું માનતા હોય છે કે કાયદો બધા માટે સરખો હોવો જોઈએ. અહીં તો ધર્મે ધર્મે, સંપ્રદાયે સંપ્રદાયે, કોમે કોમે, નાતે-જાતે કાયદા અલગ અલગ હોવા જોઈએ તેવું માનવાવાળો દેશ છે. અને અમીરો માટે તો કાયદાની આમેય ક્યાં જરૂર છે? મુકેશ અંબાણીની એસ્ટોન માર્ટીન ચાર જણને ચગદી નાખશે તો શું થવાનું? જસ્ટ દાખલો આપું છું. મુકેશનો છોકરો દારુ પી ને કાર ચલાવતો હશે તો કોઈ ભાડૂતી ડ્રાઇવર એની જગ્યાએ આવી જશે. આ અમેરિકા થોડું છે કે બુશ પ્રેસિડન્ટ હોય છતાં એની છોકરીને કોર્ટમાં જવું પડે? અને એને કોર્ટમાં લઈ જનારા પોલીસને કોઈ ચિંતા જ ના હોય?

  એટલે ભારતમાં વાહન લઈ જતા હોઈએ અને કોઈ પોલીસ રોકે તો પહેલા તો એના તેવર જુદા હોય. પછી જ્યારે નામ દઈએ, પિતાશ્રીનું નામ દઈએ, કઈ કોમ કે નાત ધરાવીએ છીએ તે કહીએ એટલે તેના તેવર બદલાઈ જાય. હું તો રાઓલ અટક અને ગામ માણસા કહું એનામાં તરત નમ્રતા આવી જાય. આપણે પણ ફુલાઈને ચાલતી પકડીએ. એટલે પહેલીવાર અમેરિકામાં આઠ વર્ષે પોલીસવાળાએ રોકી મને કહ્યું “ સર ! તમારે કારમાંથી ઊતરવાની જરૂર નથી, હું ફલાણો પોલીસ ઓફિસર છું અને તમે આ જગ્યાની બાંધેલી સ્પીડ કરતા વધુ સ્પીડે કાર ચલાવી છે માટે તમારું લાઇસન્સ અને કારનું રજિસ્ટ્રેશન વગેરે આપો.” મને તો એણે ‘સર’ કહ્યુંને મજા પડી ગઈ. છતાં મને ખબર હતી કે ગુનાની ગંભીરતા કે પરિસ્થિતિ જોઈ આ જ પોલીસવાળો મને રોડ પર ઊંધા પાડી એના સ્વખર્ચે વસાવેલી હાથકડી પહેરાવતા જરાય વાર નહિ કરે.

આપણે ત્યાં લાલુઓ, દત્તો, સલમાનો માટે કાયદાપાલન બાબતે જુદા કાટલાં છે અને બબલો, છગનીયો, ભીખલો કે મગનીયા માટે કાટલાં જુદા છે. એટલે બધા માટે કાટલાં સરખાં હોય તેવું આપણી માનસિકતામાં અચેતનરૂપે ઊતરે જ નહિ. એટલે પછી લાલુઓ, દત્તો, સલમાનો માટે બબલો, છગનીયો, ભીખલો અને મગનીયો કાવતરા કરી રહ્યા હોય તેવું લાગતું હોય છે. એટલે અમેરિકાની કાયદાપાલન સિસ્ટિમ આપણા દિમાગમાં ઊતરતી નથી અને અમેરિકા ભારતને નીચું પાડવા કાવતરા કરી રહ્યું હોય તેમ સામાન્ય પ્રજાજનોને પણ લાગતું હોય છે.

આ પ્રીત ભરારા ઇન્ફન્ટ એટલે તાજું જન્મેલું બચ્ચું હતા અને અમેરિકા આવી ગયેલા. એમની સમજમાં કે બ્રેનમાં હોય જ નહિ કે દેવયાની જેવા મોટા ઓફિસર અને મોટા માથા પર કાયદાકીય પગલા લેવા પાપ કહેવાય. દેવયાની અને એની નોકરાણી સંગીતા રીચાર્ડનાં કેસ વિષે આપણે ન્યાય તોલવા બેસવાની જરૂર નથી. તે બધું જે તે સત્તાવાળા અને જે તે ન્યાયાધીશો કરશે. મારે તો જસ્ટ માનસિકતાની વાત કરવી છે. દેવયાની અને સંગીતા બંને વધતાઓછા દોષી હશે જ. પણ અમેરિકામાં સંગીતા એક નોકરાણી છે ગરીબ છે અને દેવયાની એક કૉન્સ્યુલેટ છે, ડિપ્લોમેટ છે અમીર છે તેવા ધારાધોરણ ધ્યાનમાં લેવામાં આવશે નહિ અને ભારતમાં આ બધું ધ્યાનમાં લેવામાં આવશે. ભલે અમેરિકાએ સદીઓ સુધી ગુલામો રાખ્યા હશે પણ આજે અમેરિકા સ્લેવરિ બાબતે ખૂબ સેન્સીટીવ છે. ફેડરલ ગવર્નમેન્ટ નક્કી કરે તેના કરતા ઓછા પગાર આપવો સ્લેવરિ જેવું ગણાય.

તમે મોદી સરકારના એક સામાન્ય પોલીસવાળા હોવ અને ખુદ મોદી કારમાં સીટ બેલ્ટ બાંધ્યા વગર જતા હોય તો મેમો આપી શકો ખરા? સપનામાં પણ એવો વિચાર આવે નહિ. અમેરિકામાં ડ્રાઈવરે અને કારમાં આગળ બેઠેલાએ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત છે. અહીં પ્રમુખ પદ્ધતિ છે માટે રાજ્યના ગવર્નર સીધા પ્રજા દ્વારા ચૂંટાયેલા અને ભારતના કોઈ મુખ્યમંત્રી જેવા સર્વેસર્વા જ સમજી લો. ન્યુ જર્સીના ગવર્નર કોરઝાઈનને એના જ પોલીસવાળાએ બેલ્ટ ના બાંધવા બદલ ટીકીટ(મેમો) આપી દીધેલો.

અહીં અમેરિકામાં ભારતીયોનું શોષણ બીજા ભારતીયો દ્વારા જ થતું હોય છે. મોટેલોમાં અને સ્ટોરોમાં એના ભારતીય માલિકો દ્વારા એમના ભારતીય નોકરોનું બેફામ અને માનવતા નેવે મૂકીને શોષણ કરાતું  હોય છે. પણ એમાં તેરી બી ચુપ મેરી બી ચુપ જેવો ઘાટ હોય છે. ફેમિલીફાઈલો ઉપર અમેરિકા આવી ગયેલા નિરક્ષર ભારતીયો જે મળે તે અને જ્યાં મળે ત્યાં કામ કરવા રાજી હોય છે. અહીં કોઈ કામ નાનું કે મોટું ગણાતું નથી માટે કરવામાં તો શું શરમ રાખવાની? પણ જે મળે તે કામ કરી લેવાની મજબૂરીનો જબરદસ્ત લાભ ભારતીયો જ લેતા હોય છે. કોઈ શ્વેત-અશ્વેતનું શોષણ તમે કરી શકો નહિ. કોર્ટના ધક્કા ખાતા કરી મૂકે. એટલે અભણ, વૃદ્ધ અને અશક્ત ભારતીયોનું શોષણ આપણા ભારતીયો જ કરતા હોય છે. ડીસ્ક્રીમીનેશન અહીં મોટો ગુનો છે. સ્ત્રીઓના મોઢા ના જોવાય પણ પુરુષનું નિતંબશોષણ કરવામાં જરાય વાંધો નહિ તેવી પવિત્ર માનસિકતા ધરાવતા સંપ્રદાયનાં સંતો એક ભારતીયની મોટેલમાં એમના પવિત્ર વાઈબ્રેશન ફેલાવી તેને કૃતાર્થ કરવા પધાર્યા ત્યારે પેલાં ભારતીય મોટેલ માલિકે એમની અશ્વેત કર્મચારી એવી મહિલાને સ્થળ છોડી જવા ફરમાન કરેલું. પેલી મોટેલસ્થળ છોડી કોર્ટસ્થળે પહોચી ગયેલી એમાં પેલાં ભારતીય મોટેલ માલિકને બહુ મોટો દંડ untitled-=-ભોગવવો પડેલો.

શોષણ થવા દેવા માટેની તમારી મજબૂરીઓને લીધે તમે કેસ કરો નહિ તો સરકારને ક્યાંથી ખબર પડવાની હતી? જો તમને જ તમારું શોષણ મંજૂર હોય તો સરકાર શું કરવાની હતી? ભારતમાં આપણને કોઈ બેપાંચ હજાર પગારમાં રાખવા તૈયાર ના હોય અને અહીં અમેરિકા ૨૫-૩૦ હજાર રૂપિયા આપી લાવવા તૈયાર થઈ જાય તો એકંદરે લાભ બંનેને છે. પણ આ ૨૫-૩૦ હજાર એટલે આશરે ૫૦૦ ડોલર તે પણ મહીને અહીંના ધારાધોરણ મુજબના કહેવાય નહિ. આટલાં તો અઠવાડિયે મળવા જોઈએ.

વધુ પડતા આત્મવિશ્વાસમાં એકવાર ૯/૧૧ ઘટના બની ગયા પછી અમેરિકા વધુ પડતું સાવચેત થઈ ગયેલું છે. અને તે જરૂરી છે. આપણા ફિલ્મી ટાયડા કે લઘરવઘર ફરતા નેતાઓના માન સાચવવાની લ્હાયમાં અમેરિકન પ્રજાની સુરક્ષા હોડમાં મૂકે તેવું અમેરિકા નથી. આ લેડી ગાગા મુંબઈથી અમદાવાદ રોડરસ્તે એના કાફલા સાથે આવતી હોય તો મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પર એની કોઈ ચકાસણી થાય ખરી? ચાલો એના બદલે સુનિધિ ચૌહાણ કે શ્રેયા ઘોષાલ હોય તો પણ કોઈ તપાસે નહિ. પણ અહીં લેડી ગાગા એક સ્ટેટ બદલી બીજા સ્ટેટમાં જતી હોય તો કુતરાઓની આખી ફોજ સાથે પોલીસ એના કાફલાની પૂરી ચકાસણી કરી લે, એમાં લેડી ગાગા પણ હસતી હસતી સહકાર આપે. ઘણીવાર જરૂરિયાત નિયમો બનાવી લેવા પ્રેરતી હોય છે. આંતરવસ્ત્રો તપાસવાના પહેલા કોઈ નિયમો હતા નહિ. પણ કોઈએ આંતરવસ્ત્રો અને ગુપ્તાંગોનાં ખાડાખૈયામાં કશું છુપાવ્યું હશે જે મળ્યું હશે માટે બધું તપાસવાના નિયમો બની ગયા હશે. સમાજની સુરક્ષા માટે બનાવેલા નિયમોનું આકરું પાલન આપણી સમજમાં જલદી ઊતરતું નથી કારણ આપણે ત્યાં માણસ એનું સ્ટેટ્સ એના પૈસા બધું પહેલા ગણતરીમાં લેવાય છે કાનૂન પછી.

હું એવું નથી કહેતો કે અમેરિકા ભૂલો નથી કરતું કે બહુ મહાન છે પણ આપણે ત્યાં માણસ પહેલા જોવાય છે પછી કાયદો જ્યારે અહીં કાયદો પહેલા ગણતરીમાં લેવાય છે માણસ પછી માટે આ બેસિક તફાવત ધ્યાનમાં રાખવો જોઈએ.. જો કે માણસ જાતના ઇતિહાસમાં ડીસ્ક્રીમીનેશન કરવામાં સદીઓથી અવ્વલ નંબરે રહેલી પ્રજાના મનમાં આ વાત જલદી નહિ ઊતરે તે પણ હકીકત છે.

નોંધ: મિત્રો જમણા હાથે કોણીમાં ફ્રેકચર છે નિયમિત લખવું મુશ્કેલ છે, એક હાથે તે પણ ડાબા હાથે લખવું અઘરું છે છતાં ટ્રાય કર્યો છે.

ચુંબનમીમાંસા

 ચુંબનમીમાંસા

136497-136496Kiss me and you will see how important I am,” Sylvia Plath (October 27, 1932 – February 11, 1963) was an American poet, novelist and short story writer) નામની ફક્ત ત્રીસ વર્ષની ઉંમરે દુનિયા છોડી ગયેલી એક કવિયત્રીની આ એક પ્રસિદ્ધ પંક્તિ છે. આ એક સ્ત્રીની સંવેદના છે કે એક ચુંબન કરો પછી ખયાલ આવશે કે તે કેટલી મહત્વની છે. એક ચપટી સિંદૂરની કિંમત તો હવે દંભ બનીને રહી જવાનો છે, એની શરૂઆત થઈ ચૂકી છે પણ એક ચપટી ચુંબન તો કાયમ કિંમતી રહેવાનું જ છે. સખ્યભાવ અને સૌજન્ય દર્શાવવા, માન આપવા અને માતા-પિતા દ્વારા કરાતાં ચુંબનો સિવાય કામોદ્દીપક ચુંબનો દરેક સંસ્કૃતિમાં માન્ય છે. આખી દુનિયામાં બહુમતી લોકો આવું શૃંગારિક ચુંબન કરતી વખતે ઉત્તેજના, આનંદ, અણઆવડત, કઢંગાપણું, વૈચારિક ગભરાટ મહેસૂસ કરતા હોય છે. મુખરસ(સલાઇવ) અને જમતી વખતે સલાડની આપલે જેવો અનુરાગનો આચાર ઇચ્છનીય પળો તરીકે મહત્વનો હોય છે. ચુંબન કામકેલીનું અવિભાજ્ય અંગ છે.

136497-136466અમુક વિશેષજ્ઞોનું માનવું છે કે સંભવિત સેક્સ્યૂઅલ પાર્ટનરની ઇન્ફર્મેશન એકઠી કરવાના મેકનિઝમ તરીકે ચુંબન ઈવૉલ્વ થયેલું છે. ચુંબન શારીરિક સજ્જડ નિકટતા પ્રદાન કરતું હોય છે, એટલું નિકટવર્તી કે તમે સૂંઘી શકો અને સ્વાદ પણ લઈ શકો. આપણી રોગપ્રતિકારક શક્તિઓ અને જિનેટિક સંબંધિત માહિતી ધરાવતા ગૂઢ રસાયણોનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ આપણા ચહેરાની આસપાસ વધુ હોય છે. આપણી લાળ(saliva) હોર્મોનલ સંદેશાઓ ધરાવતી હોય છે. વ્યક્તિના શ્વાસની મહેક, ઓષ્ઠની લહેજત, અને દંતસ્પર્શ સંવેદના વ્યક્તિની તંદુરસ્તી અને હાઇજિન પ્રત્યે ઇશારા દર્શાવી સંતાનોત્પાદક સુયોગ્યતા જતાવતી હોય છે.

માનસિક રીતે જોઈએ તો ચુંબન વ્યક્તિ પ્રત્યેની નિકટતા, ગાઢ અંગતતા અને વિશ્વાસની અભિવ્યક્તિને બળવત્તર કરતું હોય છે. આમ ચુંબન ઘ્રાણેન્દ્રિય અને સ્વાદેન્દ્રિયને સમીપતાનાં ઉત્સવમાં ભાગ લેવા આમંત્રિત કરી એને વધુ ઊંડાણ અર્પતું હોય છે. વધારામાં ચુંબન બીજી વ્યક્તિને આપણા નાજુક અંગત સ્થાન એવા મુખમાં પ્રવેશ આપી ચેપી રોગ પામવાનું જોખમ લેવા સંમતિ દર્શાવતું હોય છે. આવી રોગ પામવાની શક્યતા હોય છતાં ચુંબન થવા દેવા મતલબ સામેની વ્યક્તિ પર વિશ્વાસ હોય છે, એક નિકટતા હોય છે. ખાસ તો ચુંબન સ્ત્રીઓમાં રહેલી સૂગને(Disgust) દૂર રાખવા પ્રેરતું હોય છે. મતલબ માનસિક નિકટતા વગર ચુંબન શક્ય હોતું નથી. માટે માનસિક સમીપતા વગરની સેક્સ્યૂઅલ પ્રવૃત્તિઓમાં ચુંબન ખાસ સામેલ થતું નથી. સેક્સ વર્કરને એના ક્લાયન્ટને ચુંબન કરવામાં કે કરાવવામાં જરાય રસ હોતો નથી. ધંધાના ભાગરૂપે કરે તે જુદી વાત છે.

ચુંબન એટલે કામોદ્દીપક મોહક પ્રલોભન, સ્ત્રીઓના હોઠ અને ઓષ્ઠ્ય ધ્વનિને નકારવાનું બહુ મુશ્કેલ. લાલ રંગ આમેય કામોત્તેજક હોય છે. માટે સ્ત્રીઓ એને લાલ રંગે

Sylvia Plath
Sylvia Plath

રંગતી હોય છે. પુરુષોને ભીનું ચુંબન કરવાનું ગમતું હોય છે માટે ચુંબનમાં પુરુષો જિહ્વાની સામેલગીરી સ્ત્રીઓ કરતા વધુ ઇચ્છતા હોય છે. ભીનું મુખ અને એમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરતી જિહ્વા કામોત્તેજના વધારી સમાગમને વિશિષ્ઠ બનાવી દે છે. પુરુષોને ભીનું ચુંબન વધુ ગમતું હોય છે કેમકે પુરુષોનાં મુખરસમાં testosterone હોય છે જે સ્ત્રી અને પુરુષ બંનેમાં કામ ઉદ્દીપન માટે જવાબદાર હોય છે જેથી ભીના ચુંબન દ્વારા પુરુષ એનું testosterone સ્ત્રીનાં મુખમાં પ્રવેશ કરાવી એની કામોત્તેજના વધારી મૂકવાનું કામ કરતો હોય છે.

ઇવલૂશનરી ઍન્થ્રપૉલજિસ્ટ હેલન ફિશર (Rutgers University, New Jersey) કહે છે ચુંબન વિકાસના ક્રમમાં સંતાનોત્પાદક વ્યૂહરચના તરીકે ત્રણ તબક્કાઓમાં કામ કરે છે. એક તો ચુંબન કામોત્તેજના વધારી બહુવિધ(મલ્ટિપલ) પાર્ટનર સાથે સંભોગ કરવા ઇચ્છા પ્રેરક બનતું હોય છે. ત્યાર પછી રોમૅન્ટિક પ્રેમની ભઠ્ઠીમાં ઈંધણ ઉમેરી એને વધારે પ્રજ્વલિત કરી બહુવિધ પાર્ટનરમાંથી એક પસંદ કરી તેના પ્રત્યે મોહ ઉત્પન્ન કરવા પ્રેરક બનતું હોય છે. અને પછી તે પાર્ટનર સાથે મજબૂત સામાજિક જોડાણ(ફેવિકોલ બૉન્ડ) વધારી બંને પાર્ટનરનાં Genes ધરાવતા સંતાનો ઉછેરવા પ્રેરકબળ બનતું હોય છે.

 Robert Gallup (University of Albany, New York) અને તેમના સાથીઓએ કરેલા સંશોધન મુજબ શૉર્ટ ટર્મ હોય કે લોંગ ટર્મ સ્ત્રીઓ માટે ચુંબન વધુ મહત્વ ધરાવતું હોય છે. રોમૅન્ટિક રિલેશનશીપ માટે સુંદર ચુંબન એકલું પૂરતું હોતું નથી પણ સ્ત્રીઓ પરનો અભ્યાસ બતાવે છે કે ચુંબન કરનાર પુરુષ પાત્રની ગંધ અને સ્વાદ પણ વધુ વજન ધરાવતો હોય છે જે આગળ ચુંબન કરવા દઈને સંબંધ આગળ ધપાવવા મદદરૂપ બને. આમ અસફળ ચુંબન સંભવિત સાથી ગુમાવવાનું કારણ પણ બની શકે. પુરુષને ચુમ્બનમાં અને સ્ત્રીને ચુંબનની ગુણવત્તામાં વધુ રસ હોય છે. પુરુષ ચુંબન પછી સીધો સમાગમની ઇચ્છા ધરાવતો હોય છે. અને ચુંબન સમાગમ તરફ દોરી જાય તેને good kiss સમજતો હોય છે. આમ પુરુષ ચુંબન માટે ઉતાવળો હોય છે અને ચુંબન પછી સમાગમમાં ઊતરવાનું દબાણ સ્ત્રીને કરતો હોય છે, એની ફરિયાદ સ્ત્રીઓને રહેતી હોય છે.

સ્ત્રીઓ માટે ચુંબન કીમતી હોય છે. ઓવુલ્યેશન સમયે  સંભવિત પાર્ટનરની ઇન્ફર્મેશન ભેગી કરવાનો અનકોન્શયસ તરીકો એટલે ચુંબન. જે સ્ત્રી અને પુરુષ પોતાને આકર્ષક ગણાવતા હોય તેઓ ચુંબનને વધુ મહત્વ આપતા હોય છે. જે લોકો વધુ આકર્ષક હોય છે તેઓ પાસે સેક્સૂઅલ ઑપ્શન પણ વધુ હોય તે સ્વાભાવિક છે. તો તેવા લોકો માટે પાર્ટનર પસંદ કરવા અને તેને લલચાવવા માટે ચુંબન એક ટૂલ(tool) બની જતું હોય છે. શૉર્ટ ટર્મ રિલેશનશીપ માટે સમાગમ દરમ્યાન કે સમાગમ પછી કરાતા ચુંબન કરતા સમાગમમાં ઊતરતા પહેલાનું ચુંબન વધુ મહત્વનું બની રહેતું હોય છે તેવું અભ્યાસ બતાવે છે. જ્યારે લોંગ ટર્મ રિલેશનશીપમાં સમાગમ પહેલા, સમાગમ દરમ્યાન કે સમાગમ પછીનાં ચુંબનો સરખું જ મહત્વ ધરાવતા હોય છે તેવું અભ્યાસ જણાવે છે.

ચુંબન લોંગ ટર્મ રિલેશનશીપની ક્વૉલિટી સુધારવામાં પણ મહત્વનું બની રહેતું હોય છે. Kory Floyd ( Arizona State University) કરેલા સંશોધન મુજબ વધુ ચુંબન કરવાનું સૂચવ્યા પછી તે સૂચના અમલમાં મૂક્યા પછી તે લોકોના કલેસ્ટરૉલ અને સ્ટ્રેસ હૉર્મોન ઘટ્યા હતા. Wendy Hill (Lafayette College  Pennsylvania) કરેલા સંશોધન મુજબ રોજનું પંદર મિનિટ ચુંબન કરનાર લોકોના stress hormone cortisol લેવલમાં ઘટાડો નોંધાયો હતો. તારણ એવું નીકળે છે કે ટૂંકા ગાળાના સંબંધમાં ચુંબન સમાગમ તરફ વધુ ઝોક ધરાવતું સંભવિત સાથીની પસંદગી અને પ્રલોભન તરીકે વપરાતું જણાય છે. જ્યારે લાંબા ગાળાના સંબંધમાં ચુંબન માનસિક સમીપતાની અભિવ્યક્તિ તરીકે અને સંબંધમાં નિકટતા વધારવામાં બહુ કામ લાગે છે. પુરુષ માટે ચુંબન સીધું સેક્સમાં ઉતારવાનો ગેટવે અને ઓવરટાઈમ ઘટાડવાનો નુસખો જ્યારે સ્ત્રીઓ માટે ચુંબન વધુ મહત્વનું, તંદુરસ્ત પાર્ટનરની પસંદગી અને સંબંધ લાંબો લાંબો સમય ટકાવી રાખવાનું તેને બળવત્તર બનાવવાનું મહત્વનું પ્રેરકબળ બનતું હોય છે. પુરુષને ચુંબન સાથે સેક્સમાં વધુ રસ હોય છે જ્યારે સ્ત્રીને ચુંબન વખતે સેક્સ કરતા જે તે પુરુષના સ્વાદ અને સુગંધમાં રસ વધુ હોય છે.136497-136494

આ ચુંબનમીમાંસાનો વારંવાર પાઠ કરનારનું કલેસ્ટરૉલ ઓછું થશે, વધારે હશે તો ઓછું થશે બાકી સરખું જ રહેશે, સ્ટ્રેસ હૉર્મોનમાં ઘટાડો થવાથી સ્ટ્રેસ પણ ઓછો થશે. અલ્યા ભાઈઓ અને બહેનો આનો વારંવાર પાઠ કરવાને બદલે પોતપોતાના જીવનસાથીને ચુંબનો વધુ ચોડશો તો ફાયદો થશે. આ કોઈ સત્યનારાયણની કથા નથી તે રોજ રોજ જપ્યા કરવાથી ફાયદો થાય. વાંચો વંચાવો અમલમાં મુકો.

Bhupendrasinh Raol, Edison NJ.  11 November 2013

સંજય લીલા ભણશાળીની સર્જનાત્મક બૌદ્ધિક બદમાશી

સંજય લીલા ભણશાળીની સર્જનાત્મક બૌદ્ધિક બદમાશી

પીંઢારા શબ્દ વિષે કેટલા જાણતા હશે? આ શબ્દ શેના માટે વપરાય છે તે પણ મોટાભાગના લોકોને ખબર નહિ હોય. ભણેલા ગણેલા અને રાજકીય બાબતોમાં રસ ધરાવનાર લોકોમાં આ શબ્દ થોડોઘણો પ્રચલિત છે એનું કારણ બ્રિટનના બીજા વિશ્વયુદ્ધ સમયના વડાપ્રધાન ચર્ચિલ છે. કારણ ભારતને આઝાદી આપવાના નિર્ણય સામે તે સમયના બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન ઍટલીને આ ચર્ચિલે કહેલું કે તમે ઠગ અને પીંઢારાઓને રાજ પાછું આપી રહ્યા છો. ચર્ચિલનું આ વાક્ય ઇતિહાસમાં અમર થઈ ગયું છે. અને આપણા નેતાઓએ આ વાક્ય સાચું પણ પાડ્યું કે ખરેખર ચર્ચિલ સાચો હતો. સ્વિસ બેન્કોમાં પડેલા ભારતના લોકોની પરસેવાની કમાણીના ૧૫૦૦ બિલ્યન ડૉલર્સ એની સાબિતી છે. હવે તો સમજાઈ ગયું હશે કે પીંઢારા શબ્દ શેના માટે વપરાતો હશે.

મૂળ પીંઢારા મુઘલ બાદશાહોનાં મોટાભાગે નામ પાછળ ખાન લગાવતા પઠાણી સૈનિકો હતા. કાળક્રમે પગાર આપવાના ફાંફાં પડી જતા છૂટાં મૂકી દેવાયેલા ભૂખ્યા વરુઓ. મુસલમાન ઇતિહાસકાર ફીરીસ્થાએ ઈ.સ.૧૬૮૯માં નોંધ્યા મુજબ  ઔરંગઝેબના લશ્કરમાં મુસલમાન પઠાણોની અમુક ટુકડીઓ સામાન્ય નાના નાના કામો માટે રાખવામાં આવતી હતી. મુસલમાનો નબળા પડ્યા ને મરાઠાઓ મજબૂત થયા ત્યારે આ ટુકડીઓ મરાઠાઓના લશ્કરમાં કામ કરવા લાગી. છત્રપતિ શિવાજી સુધી તો એમની સેવાઓ લીધી નહોતી,  પણ બાલાજીરાવે ગર્દીખાનની રાહબરી નીચે આ લોકોને સેવામાં રાખ્યા. આ લોકોનું કામ યુદ્ધ પત્યા પછી સામી છાવણીઓમાં આતંક ફેલાવવાનું અને લૂંટફાટ મચાવી બધું સળગાવી દેવાનું રહેતું. એટલે પીંઢારાનો જન્મદાતા ઔરંગઝેબ અને એમનો વિકાસ કરનારા  પાલનહાર એટલે મરાઠા.

લુટારાઓની  કોઈ જાત હોતી નથી. નર્મદાનો ખીણ પ્રદેશ આ લોકોનો ગઢ હતો. સંતાડેલા ગુપ્ત ધનની માહિતી ઓકાવવા પીંઢારા માણસના નાક અને મુખમાં ગરમ કોલસા અને રાખ ભરતા, એની સ્ત્રી પર બળાત્કાર કરતા, એના બાળકના તલવાર વડે બે ભાગ કરી નાખતા. ગામના મુખીને પકડીને આખી રાત ટૉર્ચર કરતા જેથી ગામના લોકો વધુને વધુ ધન આપે, મુખીનું એક એક અંગ ધીમે ધીમે કાપતા અને છેવટે એનું હૃદય કાઢી લેવામાં આવશે તેવી ચેતવણી આપતા. આ પીંઢારાઓનો નાશ મરાઠી રાજાઓનો સહકાર લઈને અંગ્રેજોએ કરેલો એના માટે અંગ્રેજોને થેન્ક્સ કહેવા જોઈએ.

હવે સલમાનખાનનું ‘વીર’ મુવી જેણે જોયું હશે તેને ખયાલ આવી જશે કે આ ખાન બંધુઓએ કેવી રીતે સર્જનાત્મક બૌદ્ધિક બદમાશી કરી છે. કદાચ એમના મૂળિયા આ પીંઢારાઓમાં હોવા જોઈએ. એટલે ‘વીર’ મુવીમાં પીંઢારાઓને દેશભક્ત અંગ્રેજોમાં સામે સ્વતંત્રતાની લડાઈ લડતા વીર સૈનિકો બતાવી દીધા. ઇતિહાસની માબેન સર્જકતાને બહાને કરી નાખી. ફિલ્મ શરુ થતા લખી નાખવાનું કે આ કાલ્પનિક વાર્તા છે કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહિ. પણ લોકોના મનમાં દ્રશ્યશ્રાવ્ય મીડિયાની ભયાનક અસર પડતી હોય છે. આપણે જોએલું  જલ્દી સાચું માની લેતા હોઈએ છીએ ભલે પડદા ઉપરનું હોય. ફિલ્મોમાં કે ટીવીમાં દ્રૌપદીનાં ચીર પૂરતા કૃષ્ણને જોઈ કોઈને વિચાર નહિ આવે કે તે ૫૦૦૦ વર્ષ પહેલાના જમાનામાં સુરતની સાડીઓ હતી નહિ.

મિત્ર રાજીવ જોશીનું કહેવું છે કે “સામ્યવાદની અસર હેઠળ બંગાળી ફિલ્મ નિર્માતાઓએ જમીનદાર કાયમ ખરાબ, વ્યાપારી અને પૂજારી હંમેશા લુચ્ચો સાથે ભારતની ગરીબી અને ઝૂપડપટ્ટીઓનું ચિત્રાંકન કરી વિદેશોમાંથી ખૂબ એવૉર્ડ ભેગાં કરેલા. મુસ્લિમ ચાચા હમેશાં ઈમાનદાર, હીરો મંદિરમાં ના જાય પણ ૭૮૬ના  બિલ્લાને આખો દિવસ માથે લગાવ્યા કરે અને અડ્ડા બધા માઈકલનાં જ હોય.”

મૅમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છે તે સોશિઅલ સાયન્સની રીતે જોઈએ તો જૈવિક સત્ય છે. પોતાના સમૂહથી છુટું પડેલા કોઈ પણ મૅમલ પ્રાણીનાં બ્રેનમાંથી તરત સ્ટ્રેસ કેમિકલ કૉર્ટીસોલ છૂટવા લાગે છે તે સંભવિત જોખમનો ઉપાય કરો તેની સૂચના આપતું હોય છે. જલ્દી સમૂહમાં પાછાં ભળી જાઓ નહીતો માર્યા જશો તેવી ચેતવણી આપતું હોય છે. ટોળાથી વિખૂટું પડેલું ઘેટું તરત મેં મેં કરવા લાગતું હોય છે. બીજા મૅમલ પ્રાણીઓ કરતા માનવો મોટું વિચારશીલ બ્રેન ધરાવે છે એટલે બહુ મોટી કૉમ્પલેક્ષ સમાજ વ્યવસ્થા ધરાવે છે. પહેલો સમૂહ વ્યક્તિનું અંગત કુટુંબ હોય છે, માબાપ અને એમના સંતાનો. એના કરતા થોડો મોટો સમૂહ કાકાબાપા પિતરાઈ ભાઈઓ વગેરેનો સમૂહ હોય છે. પછી સમૂહ વિસ્તરતા એકજ બ્લડ લાઈન ધરાવતી જ્ઞાતિ અને વંશ આવે. વળી આવા અલગ વંશ કે જ્ઞાતિ ભેગી થઈને વસતું ગામ પણ એક જાતનો વિશાલ ફલક પરનો સમૂહ જ ગણાય. આમ પ્રાંત અને દેશ પણ બહુ મોટા મોટા ફલક પરના સમૂહ કહેવાય.

પ્રાણીઓને બહુ વિચારવાનું હોતું નથી માટે એમની સમાજ વ્યવસ્થા બહુ જટિલ હોય નહિ. માનવી ખૂબ વિચારે છે માટે એની સમાજ વ્યવસ્થા બહુ જટિલ હોય છે. માનવીનો પ્રૉબ્લેમ હોય છે કે અમુક સમય સમૂહમાં રહીને પણ એકલો જીવવા માંગતો હોય છે. મોટા સમૂહના રક્ષણ સાથે બહુ નાના ગૃપમાં રહેવાની ઇચ્છા ધરાવતો હોય છે. કોઈ લગ્ન કે પાર્ટીમાં સૌ પોતાના નાના ગૃપ બનાવી બેસી જતા હોય છે. સામાજિક બહિષ્કાર વખતે જીવના જોખમ જેટલું જ જોખમ એનું બ્રેન અનુભવતું હોય છે. ગામ, પ્રાંત કે દેશમાં જુદા જુદા સમૂહો ભેગાં જ રહેતા હોય છે છતાં આ સમૂહો એકબીજા વડે જોખમ અનુભવતા હોય છે. એકબીજાની સાથે રહેવું છતાં એકબીજા વડે જોખમ-થ્રેટ અનુભવવાનું સામાન્ય હોય છે.

ઘરમાં લડતા ભાઈઓ કુટુંબ સામું પડે ત્યારે એક થઈ જતા હોય છે. કુટુંબમાં લડતા વ્યક્તિઓ પણ ગામનાં લોકો લડવા આવે ત્યારે એક થઈ જતા હોય છે. મોટા સમૂહ તરફથી થ્રેટ અનુભવાય તો નાના નાના સમૂહ એક થઈને મોટો સમૂહ બનાવી મુકાબલો કરતા જ હોય છે. આ થીઅરી જુઓ તો બીજા રાજ્ય તરફથી જોખમ અનુભવાય તો સમગ્ર ગુજરાત અમે ગુજરાતી તરીકે એક થઈ જવાનું ભલે રોજ અંદર અંદર લડતા હોય. આમ જ પાકિસ્તાન સામે આખું ભારત એક થઈ જવાનું તે વખતે આમચી મુંબઈ, જય જય ગરવી ગુજરાત કે જય મહારાષ્ટ્ર જેવા મંત્ર ભુલાઈ જતા હોય છે. ત્યારે ભારત માતાકી જય સહુ પોકારવા લાગશે. કોઈ પરગ્રહવાસી ચડી આવે તો સમગ્ર પૃથ્વી પરના માનવ સમૂહો કે જેને આપણે દેશો તરીકે ઓળખીએ છીએ તે એક થઈ જવાના. નાના સમૂહના સ્વાર્થ કરતા મોટા સમૂહનો સ્વાર્થ કે ફાયદો ઉત્તમ ગણવામાં આવતો હોય છે, એને આપણે પરમાર્થ કહેતા હોઈએ છીએ. કુટુંબ માટે વ્યક્તિઓ બલિદાન આપતા હોય છે. રાષ્ટ્ર માટે જાતિવાદ અને પ્રાંતવાદ ભૂલી જવો પડતો હોય છે. સમાજ મતલબ પોતાના મોટા સમૂહ માટે વ્યક્તિગત ફાયદા ભૂલીને સમાજના હિતમાં કામ કરે તેને પરમાર્થ કહેવાય. વ્યક્તિગત હિત જવા દઈને આખા ગામ કે જેમાં બીજા સમાજો પણ રહેતા હોય છે તેવા સમગ્ર ગામ, રાજ્ય કે દેશ માટે કામ કરે તેને સ્વાભાવિક ઊંચું ગણવામાં આવે.

   ચાલો આટલાં પિષ્ટપેષણ પછી મૂળ વાત પર પાછાં ફરીએ. ૧૯૯૯માં કચ્છનાં નખત્રાણા તાલુકામાં બિબર ગામમાં થયો હશે કોઈ વિખવાદ બાવજીભા જાડેજાનું ભણસાલી કોમની ટોળીએ ખૂન કર્યું. ત્યાર પછી સામે બદલો લેવાની કાર્યવાહી તો થવાની એમાં ગામ સળગ્યું અને સામે કેટલાક ભણશાળીની પણ હત્યાઓ થઈ. આપણે જાણીએ છીએ કે આ બધું ખોટું જ થયું છે. ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલી આ નખત્રાણા તાલુકાના બિબર ગામનો. એમનું મોસાળ રાજસ્થાનમાં છે. જાડેજા દરબારો અને કચ્છી ભણસાલી વચ્ચેની આ જૂની પણ બહુ જૂની પણ ના કહેવાય તેવી દુશ્મની સંજય લીલા ભણશાલીનાં દિમાગમાં રમતી તો હોય જ.

ભાનુશાળી કહો કે ભણસાલી કહો હિંદુઓમાં વૈશ્યની કેટેગરીમાં આવતા મૂળ હાલ પાકિસ્તાનમાં ગણાતા સિંધના બલુચિસ્તાન બાજુથી કચ્છમાં આવેલા. કોઈ ચોક્કસ ઇતિહાસ મળતો નથી પણ સિકંદર ભારત પર ચડી આવ્યો તે સમયે સલામતી ખાતર અંતરિયાળ ગણાતા કચ્છમાં આવીને વસ્યા હશે. ઘણા મુઘલ કાળમાં કચ્છમાં વસ્યા હશે તેવું પણ કહે છે. સિંધ તે સમયે બૉર્ડર પર ગણાય એટલે બૉર્ડર પર વસવાટ આમેય અઘરો એટલે સલામતી ખાતર કચ્છમાં આવી ગયા હશે. વસવાટના આધારે કચ્છમાં વસેલા કચ્છી ભાનુશાળી અને હાલાર(જામનગર) વસેલા હાલારી ભાનુશાળી કહેવાતા હોય છે. કચ્છમાં સેંકડો વર્ષોથી જાડેજાઓનું રાજ હતું. એમ જામનગરમાં પણ જાડેજા વંશ રાજ કરતો. કચ્છમાંથી જામનગર બોલાવી ભાનુશાળીઓને વસાવનારા પણ જામનગરના જાડેજા રાજવીઓ જ હતા. જામનગર અને કચ્છના જાડેજા રાજાઓએ આ કોમને પાળી પોષી વસવાટ કરવાની સગવડો આપી તે જાડેજા દરબારો માટે આ રીતે ખરાબ ચિત્રાંકન કરી દુશ્મની કાઢવી અને તે પણ ફક્ત એક ગામના બે કોમ વચ્ચેના વિખવાદને લઈને? કેટલું યોગ્ય છે?

પણ આ સર્જક બહુ ચાલાક છે. રામલીલા મુવી બનાવ્યું એમાં મુખ્ય અભિનેત્રી જાડેજા ફૅમિલીની બતાવી પણ મુખ્ય અભિનેતા ભણસાળી કોમનો બતાવે એટલો મૂરખ તે છે નહિ. આ લવ સ્ટોરીનું સ્ત્રી પાત્ર જાડેજા પણ પુરુષ પાત્ર રબારી કોમનું બતાવી દીધું. વળી બે કોમ વચ્ચે ૫૦૦ વર્ષ જૂની દુશ્મની બતાવી દીધી. દરબારો અને રબારીઓ વચ્ચે દુશ્મનીનો કોઈ ઇતિહાસ છે જ નહિ. ઉલટાના રબારીઓ તો રાજપૂતોની બેન દીકરીઓના વળાવિયા તરીકે એમનું રક્ષણ કરવાનું કામ કરતા અને જરૂર પડે રાજપૂતોની દીકરીઓ માટે જીવ પણ આપી દેતા. તો સામે પક્ષે ગોપાલક રબારીઓની ગાયોનું રક્ષણ કરવા આ રજપૂતોએ પોતાના માથા આપ્યા છે. જે બે કોમ હજારો વર્ષોથી સંપીને રહી હોય તેના વચ્ચે દુશ્મની હોય તેવો ઇતિહાસ બતાવી દેવો તે પણ ફિક્શનના બહાને કેટલો વાજબી છે? હજુ તો ફિલ્મ રજૂ થઈ નથી ત્યાં રાજપૂત અને રબારી સમાજ એકબીજા વડે થ્રેટ અનુભવવા લાગ્યો છે. જે સમાજો એકબીજાના કદી દુશ્મન હતા નહિ તે હવે દુશ્મન બનશે. એની શરૂઆત થઈ ચૂકી છે.

એક મિત્ર સાવજરાજ સોઢા જણાવે છે, “રબારી અને જાડેજા રાજપૂત સમાજ વચ્ચે જે આજસુધી સંબંધો રહ્યાં છે એવાં કોઈ પણ સમાજો વચ્ચે સૌહાર્દ અને આત્મીય સંબંધો નહી હોય. પણ રામલીલાની ચર્ચા પછી એ બંને સમાજ કટ્ટર દુશ્મન જેવાં બની ગયાં છે.. આપ તે સમયની ફેસબુક પરની રબારીઓ અને રાજપૂતોની ચર્ચા જોજો ગાળો સિવાય ભાગ્યે કાંઈ હશે.. આ સમાજોમાં ફેલાયેલી કડવાશ માટે જવાબદાર કોણ? માત્ર રામલીલા. ભુજ રામલીલાનાં વિરોધ વખતે બંને સમાજ વચ્ચે ઝગડો થયો આઠેક જણાં ઘાયલ થયાં જવાબદાર કોણ…??? રામલીલા.” જે ફિલમ હજુ આ લખાય છે ત્યાં સુધી રજૂ થઈ નથી, રજૂ થશે પછી શું થશે?

લખેલું વંચાય એવું કહેવાય છે તેમ જોએલું મનાય તે પણ એટલું જ સાચું છે. ભલે આપણે લાખવાર કહીએ કે કાલ્પનિક સ્ટોરી છે પણ દ્રશ્યશ્રાવ્ય માધ્યમ બહુ પાવરફુલ હોય છે. એ સીધું તમારા બ્રેનમાં ઊતરી જશે. તમારા ન્યુરૉન્સને જકડી લેશે. આપણે જાણીએ છીએ કે આ પડદા પર દોડતા ચિત્રો છે છતાં ફિલ્મના કરુણ દ્ગશ્યો જોતા જોતા આપણે રડતા હોઈએ છીએ. હોરર મુવી જોઇને હાર્ટઍટેક આવ્યાનાં અને મરી ગયાના દાખલા પણ નોંધાયેલા જ છે.

આ વાર્તા કાલ્પનિક છે અને એમાં આવેલા પાત્રો સાથે કોઈ સામ્યતા દેખાય તો અકસ્માત સમજવો તેવું કેટલા સમજતા હશે? આવી સૂચનાઓ ભૂલી જવાતી હોય છે. આવી સૂચનાઓ ભવિષ્યમાં આવનારા વિવાદો ટાળવા પૂરતી જ લખાતી હોય છે. ફિલ્મોના બનાવટી પાત્રો સાથે આત્મીયતા બંધાઈ જતી હોય છે. એક સમભાવ કેળવાતો હોય છે. હું કોઈ ગુંડાને મારી શકતો ના હોઉં પણ બચ્ચનને મારતો જોઈ મને અચેતનરૂપે હું મારતો હોઉં તેવું લાગે. હું બચ્ચન સાથે ઇન્વોલ્વ થઈ જતો હોઉં. આમ મારી ગુંડાને મારવાની ઇચ્છાની પાદપૂર્તિ થઈ જાય. ફિલમ જોઈને એક તૃપ્તિ સાથે બહાર નીકળીએ ત્યારે હેપી હેપી થઈને નીકળીએ કે મજા આવી ગઈ. પણ શેની મજા આવી તે ભલે કૉન્શિયસલી ના સમજાય પણ મજા આવી ગઈ તેટલું તો સમજાઈ જાય છે.

ફિલ્મો જોઈ કોઈ હિંસા કરતું નથી. ક્યાંક કોઈ બનાવ બન્યો હશે બાકી મોટાભાગે આપણી અંદર રહેલી હિંસાનું હિંસક ફિલ્મો જોઈ કૅથાર્સિસ થઈ જતું હોય છે. ફિલ્મોના દુઃખી પાત્રો સાથેનાં દુઃખો સાથે આપણા દુઃખોની સામ્યતા કેળવાઈ જતી હોય છે. હીરોના કરુણ મૃત્યુ સાથેનો અંત જોઈ રડતા રડતા ભલે બહાર આવીએ પણ એક અજાણ્યો ના સમજાતો તૃપ્તિનો ઓડકાર ખવાઈ જતો હોય છે. કારણ દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક કહેવાતા દુઃખો અને કરુણ અંત સમાયેલા જ હોય છે. ચાલો આપણે એકલાં દુઃખી નથી બીજા પણ આપણા જેવા છે જ. મૃત્યુ પામતા હીરો પ્રત્યે આપણી અંદર રહેલી કરુણા વહેવા લાગતી હોય છે. આપણે ભૂલી જઈએ છીએ કે આ હીરો તો હજુ જીવે છે ખાલી પડદા પર મર્યો છે. ‘આનંદ’ આજે પણ હીટ છે. રાજેશખન્નાનું ‘બાબુ મોશાય’ આજે પણ કાનમાં એટલું જ ગુંજે છે.

કાલ્પનિક ફિલ્મોની પડતી મનોવૈજ્ઞાનિક અસરોની અવગણના તમે કરી શકો નહિ. આ ભારતીય સમાજ છે, અહીં એક કાલ્પનિક ફિલ્મ બનાવી સંતોષી માતા ઉભા કરી શકાય છે. આ ભારતીય સમાજ છે જ્યાં કાલ્પનિક કવિતા લખી ‘રાધા’ ઊભી કરી શકાય છે અને તેની પાછળ આખા દેશને ગાંડો કરી શકાય છે. મેં તો ત્રણ વર્ષ પહેલા લખેલું કે રાધા મહાભારત, હરિવંશ પુરાણ કે ભાગવતમાં ક્યાંય નથી. ઑથેન્ટિક ગણવામાં નહિ આવતા એવા બ્રહ્મવૈવર્ત પુરાણમાં રાધા કૃષ્ણની મામી છે. છતાં એક જયદેવ કાલ્પનિક રાધાનું સર્જન કરી આખા દેશને પાગલ બનાવી શકે છે. હવે જો સદીઓ પહેલા લખેલી એક કવિતા પાછળ જો દેશ ગાંડો બની શકતો હોય તો આવી દ્રશ્યશ્રાવ્ય ફિલ્મ બનાવી શું ના કરી શકાય?

ભણસાળી અને દરબારો વચ્ચેની દુશ્મની તે પણ એક ગામ પૂરતી છે તેને મિટાવવાનાં પ્રયત્નો  કરવાને બદલે આ સર્જકે આખા કચ્છ અને સૌરાષ્ટ્રના દરબારો અને રબારીઓ વચ્ચે દુશ્મની ઊભી કરી દેવાનો હીન પ્રયત્ન કર્યો છે. એની આ હીનતા રબારીઓ અને દરબારોએ ઓળખી લેવી જોઈએ અને અંદર અંદર લડી એની આ હલકટ ચાલમાં આવી જવું ના જોઈએ. આ દેશમાં એક ગાય વાછરડાનું ચૂંટણી પ્રતીક મૂકીને લોકોને ઈમોશનલી છેતરી ચૂંટણી જીતી શકાય છે. રામના રથ કાઢી લોકોની ધાર્મિક ભાવનાઓનો વેપલો રાજકીય હેતુ માટે કરી શકાય છે. લોકોએ એમના ન્યુરૉન્સ વાપરવા જોઈએ.

આ દેશમાં જ્ઞાતિવાદ સજ્જડ છે. જ્ઞાતિ એક સમૂહ છે અને મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છે તે હકીકત ભૂલવી ના જોઈએ. જ્ઞાતિવાદના પ્રકાર બદલાશે પણ સમુહવાદ તો જીવતો રહેવાનો જ છે. પણ તમે એટલું કરી શકો કે એક જ્ઞાતિને બીજી જ્ઞાતિ કરતા ઊંચી કે નીચી ના માનો. વ્યક્તિગત કે નાના સામૂહિક સ્વાર્થને જતા કરી મોટા સામૂહિક સ્વાર્થમાં બદલી પરમાર્થ જેવું નામ આપી શકો. વ્યક્તિગત કે નાની નાની સામૂહિક ભક્તિ સાથે ક્રમશઃ મોટી ને મોટી સામૂહિક ભક્તિ વધારી એને રાષ્ટ્રપ્રેમ તરફ વાળી શકો છો. છેવટે માનવતાવાદ તરફ પણ આજ રીતે જઈ શકાય. કવિશ્રી ઉમાશંકર જોશી પાછલી જીંદગીમાં એમને વિશ્વમાનવ તરીકે ઓળખાવતા હતા. કેટલી ઊંચી સંવેદનશીલતા કહેવાય?

આપણે ત્યાં કોમવાદ સજ્જડ છે માટે રાષ્ટ્રવાદ કમજોર છે. માણસ નાના નાના સમૂહ બનાવીને તો રહેવાનો જ છે પણ વર્ણવ્યવસ્થાના સજ્જડ ધારાધોરણોની જરૂર નહોતી. અહીં દરેક કોમની ચોક્કસ ડેફીનેશન છે, કે વાણિયા એટલે આવા, દરબાર એટલે આમ, બ્રાહ્મણ એટલે આવા, પટેલ એટલે આવા એમાય કડવા એટલે આવા અને લેઉંઆ એટલે આવા. હવે પટેલને તમે મખ્ખીચૂસ કહી શકો ખરા? આ ડેફીનેશન બહાર તમે બતાવો એટલે જે તે સમાજ તરત થ્રેટ અનુભવી વિરોધ કરવાનો જ છે. જાડેજાની દીકરીને અશ્લીલ હરકતો કરતી કે ભાષા બોલતી બતાવો એટલે તરત તે સમાજ થ્રેટ અનુભવી વિરોધ કરવાનો.

સિંધના સુમરા(મુસ્લિમ રાજવી)એ તેના તાબાના કોઈ ગામની મુસ્લિમ દીકરીઓની લાજ લૂટવા માટે બંદી બનાવેલી ત્યારે તે બધી ગમે તેમ નાસી જઈને કચ્છમાં આવી અને ત્યારે અબડાસાના જામ અબડાજી જાડેજા એ તેમને આશરો આપીને યુદ્ધ કરેલ અને વિજય મળેલ અને તે દિવસ અષાઢી બીજ હતી અને તે દીકરીઓ ને મુક્ત કરાવીને નવું જીવન આપવા બદલ તે દિવસને કચ્છી નવું વર્ષ તરીકે ઊજવાય છે. ભણશાળીઓને કચ્છમાં અને જામનગરમાં સુખરૂપ વસાવનારા આ જાડેજા રાજાઓ જ હતા.

દરબારોએ એમની રીતે આ ફિલ્મનો વિરોધ કર્યો. શક્તિ પ્રદર્શન થયું, તોડફોડ થઈ, જાહેર હિતની અરજી થઈ. પણ સામે સંજય લીલા કપિલ સિબ્બલ અને એના જેવા બીજા 001[1]મહારથીઓને લઈને આવી ગયો. કોર્ટે ચુકાદો આપ્યો કે જાડેજા અને રબારી શબ્દો ફિલ્મમાંથી કાઢી નાખવા. એડીટીંગ કરીને ફિલ્મ રજૂ કરવી. પણ એનો કોઈ અર્થ નથી. રબારી શબ્દ કાઢી નાખશે પણ રબારી ડ્રેસકોડ કઈ રીતે બદલશે? દરબારનો જે ડ્રેસકોડ વપરાયો હશે તે ક્યાંથી કાઢી નાખશે? સદીઓથી રબારીને ઓળખવા અહીં નામની ક્યાં જરૂર હતી? કોર્ટે ખરેખર આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા જેવો હતો. ગુજરાત પૂરતો તો મૂકી જ શકાય. સામસામે થોડા માણસો મરે તેની કોર્ટ કદાચ રાહ જોતી હશે.

 બસ અહીં જ દરબારો અને રબારીઓએ સંયમ રાખી અહિંસક વિરોધ કરી સંજય લીલા ભણશાલીની બે કોમ જે કદી એકબીજા સાથે લડી જ નથી તેને લડાવી મારવાની ચાલમાં આવી ગયા વગર સંપીને રહેવું જોઈએ.

રાઓલ ભૂપેન્દ્રસિંહ રતનસિંહ,

એડિસન, ન્યુ જર્સી.

 ૪ નવેમ્બર ૨૦૧૩.

સંઘર્ષ (કૉન્ફ્લિક્ટ) ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ

untitledસંઘર્ષ (કૉન્ફ્લિક્ટ) ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ

સમાજનો બહુ મોટો વર્ગ હમેશાં કૉન્ફ્લિક્ટ થી દૂર રહેતો હોય છે. સંઘર્ષ ટાળતો હોય છે. અથડામણમાં પડવું નાં પડે તેના ઉપાય કર્યા કરતો હોય છે. થોડા દિવસ પર ગુજરાતમાં તેમાં પણ અમદાવાદ જ હશે, કોઈ મૅનેજમેન્ટ સંસ્થાના ઉપક્રમે કૉન્ફ્લિક્ટ વિષે ચિંતન શિબિર ચાલતી હતી, તેમાં જુદાજુદા ક્ષેત્રના વક્તાઓ બોલવા આવતા હતા. તેમાં કોઈ સાધુ કે ગુરુ પણ આવેલા. બધે સાધુઓ શું કામ બોલાવતા હશે મને સમજાતું નથી. પણ તે મહારાજ ઉપજાવી કાઢેલો દાખલો આપતા હતા, કે એક કપલ ટ્રેનમાં બેઠેલું, કોઈ સ્ટેશન આવતા ચા પીવા ઊતર્યું હશે, ટ્રેન ઊપડી પેલાં ભાઈ ચડી ગયા અને એની વાઈફ નીચે રહી ગઈ. મહારાજે કટાક્ષ માર્યો મૅનેજમેન્ટ ભણેલા શ્રોતાઓ આગળ કે આ ભાઈએ રામાયણ વાંચી હોત તો આવું નાં થાત. મને ખૂબ હસવું આવ્યું આ વાત ‘સંદેશ’માં વાંચીને. હું ત્યાં હાજર હોત તો બાવાજીને કહેત કે આણે રામાયણ વાંચી હશે કે સાંભળી હશે માટે આવું થયું હશે. રામે સીતાજીને વગર વાંકે છોડી જ દીધેલા ને? બીજા કોઈ બહેનજીએ ભાષણ એમાં આપેલું કે ગીતામાં એનો ઉપાય છે. આખું મહાભારત કૉન્ફ્લિક્ટ ઉપર તો રચાયું છે. બે ભાઈઓના વંશજો વચ્ચે બહુ મોટો સંઘર્ષ હતો.. કૃષ્ણે શક્ય પ્રયાસ કૉન્ફ્લિક્ટ ટાળવા કર્યા. પણ તે સર્વાઈવલનાં ભોગે નહિ.. સર્વાઈવલ બે રીતે થાય છે. એક તો કૉન્ફ્લિક્ટ સ્વીકારી એનો પડકાર ઝીલીને, અને બીજો શરણે થઈ કૉન્ફ્લિક્ટ ટાળવો. અર્જુન તો હથિયાર હેઠાં મૂકી કૉન્ફ્લિક્ટ ટાળવા તૈયાર હતો. ત્યારે કૃષ્ણે ઊલટો અથડામણ માટે એને તૈયાર કર્યો. શરણે થઈ જીવવું તે પણ અર્જુન જેવા જન્મજાત લડવૈયા માટે મૃત્યુથી બદતર બની જાત. એ જિના ભી કોઈ જિના હૈ લલ્લુ?  ટેમ્પરરી ભાંગી પડેલા અર્જુન પાસે કૉન્ફ્લિક્ટ સ્વીકારવા અને એનો સામનો કરવા તૈયાર કર્યો તેનું નામ ગીતા.

રામે પણ રાવણ જેવા બાહુબલિ નેતા આગળ સંઘર્ષ ટાળ્યો નથી..એનો સામનો કર્યો છે, સંઘર્ષમાં ઊતર્યા છે અને જીત્યા છે. પણ સમાજનો મોટો વર્ગ હમેશાં કૉન્ફ્લિક્ટ ટાળવાની કોશિશ કરતો હોય છે. કારણ આપણા પૂર્વજો બને ત્યાં સુધી અથડામણ ટાળતા. આપણા પૂર્વજોના જીવન સહેલા નહોતા. એલ્ફા ચિમ્પૅન્ઝી એના વિરુદ્ધ કોઈ જાય તો બરોબર ઝૂડી નાખતો હોય છે. ચિમ્પૅન્ઝીનાં ગ્રૂપમાં લગભગ દરેક સભ્યે કોઈને કોઈ અંગ ગુમાવેલું હોય છે. સંઘર્ષ વગર ખોરાક મળતો નહિ, કે અથડામણ કર્યા વગર ફીમેલ મળતી નહિ. ચાલો એક સમયે ખોરાક તો મળી જાય imagesCADFYXMMપણ બીજા સાથે સંઘર્ષ વગર ફીમેલ તો મળતી જ નહિ. પણ સંઘર્ષ કરવામાં જીવ ગુમાવવો પડે તો સૌથી વધુ નુકશાન. એટલે મૅમલ બ્રેન જાણતું જ હોય છે કે ક્યારે સંઘર્ષ કરવો અને ક્યારે અથડામણ ટાળવી. મૅમલ બ્રેન સતત પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યા જ કરતું હોય છે કે ક્યારે લડવું અને ક્યારે શરણે થવું. બે મૅમલ ભેગાં થાય એટલે કમ્પેરીજન શરુ. પછી તે માનવી હોય કે બીજા એનિમલ. ધાર્મિક ચમ્પુઓને બોલાવી આશરે ૨૦૦ મિલ્યન વર્ષથી વિકસેલી અદ્ભુત લિમ્બિક સિસ્ટમ(મૅમલ બ્રેન)ને તમે આજે કૉન્ફ્લિક્ટ વિષે શિખામણ આપો હસવા જેવું છે ને? અને આ જ્યાં ને ત્યાં પગે લાગી ઉભા રહી જતા લોકો તમને એવું જ શીખવશે, કે કોઈપણ હિસાબે કૉન્ફ્લિક્ટ ટાળો, સહન કરો, આપણી તે સંસ્કૃતિ છે.

કૃષ્ણને ખબર હતી કે છેવટે પાંચ ગામ આપે તો ખાવાની સગવડ તો થઈ જશે અને પાંચ ગામના ધણી તરીકે માન પણ જળવાઈ જશે, આત્માનું હનન નહિ થાય. એટલે કૉન્ફ્લિક્ટ ટાળવા છેવટે પાંચ ગામ માંગ્યા પણ દુર્યોધન તસુભાર જમીન આપવા તૈયાર થયો નહિ તો પછી હે ! પાર્થ ઊભો થા ચડાવ બાણ અને સંઘર્ષનો સ્વીકાર કર. અને અર્જુન સામે સગાવહાલા જોઈ કેમ કંપી ગયો? કેમ ગાત્રો ગળી ગયા? સિદંતી મમ ગાત્રાણી..કેમ ગાંડીવ સરી પડ્યું? સામે સગાઓ નાં હોત તો ઝાલ્યો નાં રહેત જેમ હું ધાર્મિક કે સામાજિક પાખંડો સામે ઝાલ્યો નથી રહી શકતો. સામે બીજા હોત કે બીજા કોઈ દેશના દુશ્મનો હોત કે સગાઓ નાં હોત તો અર્જુન ક્યારનો ધડબડાટી બોલાવતો હોત. તો ગીતા રચાઈ પણ નાં હોત. મૂળ વાત એ છે કે Gene Pool જીનપુલમાં પોતાના Genes ની બહુમતી હોય, પોતાના વંશ કે genes સૌથી વધુ હોય તે દરેક પ્રાણી ઇચ્છતું હોય છે. આ પણ સર્વાઈવલનો એક ઉપાય છે. ભલે મારા ખુદના અંગત gene આગળ વધ્યા નાં હોય પણ મારા ભાઈના gene મારા જ gene કહેવાય. એટલે સામે સગા ભાઈઓ કે પિતરાઈ ભાઈઓ હોય તેમાં આપણા જ genes હોય છે તેમનો નાશ કરવો અઘરો લાગે. એટલે સામે સગાઓ જોઈ અર્જુન ઢીલો પડી ગયો. છતાં જીવન હમેશાં વિરોધાભાસ વડે ઘેરાયેલું હોય છે. ક્યારેક વ્યકિગત genes માટે વ્યક્તિગત સ્વાર્થ માટે બીજાનાં બલિદાન લેવાતા હોય છે તેમ સમૂહના સ્વાર્થ માટે કે ભલા માટે, સમૂહના genes માટે વ્યક્તિઓ ખુદના બલિદાન આપતા પણ હોય છે. પણ કૃષ્ણ જાણતા હતા કે ક્યારે સંઘર્ષ ટાળવો અને ક્યારે સ્વીકારી લડી લેવું. એટલે હું કાયમ કહેતો હોઉં છું કે કૃષ્ણ મારે મન કોઈ ભગવાન નહિ પણ સર્વાઈવલનાં યુદ્ધના મહાયોદ્ધા છે.

ક્યારેક હકારાત્મકતા ને બહાને કૉન્ફ્લિક્ટ ટાળવામાં આવતો હોય છે. સંઘર્ષ કરવામાં નકારાત્મકતા દેખાતી હોય છે. સામાજિક કે ધાર્મિક બદીઓ સામે તમે આંગળી ચીંધો તો અમુક વર્ગ તરત કહેવાનો કે સારું સારું જુઓ. ખરાબ સામે નાં જુઓ. હકારાત્મક બનો, પોજીટીવ બનો. સારી બાજુઓ ઘણી છે તેને ઉજાગર કરો. અરે ભાઈ બદીઓ સામે જોઈશું જ નહિ તો એને દૂર ક્યારે કરીશું? ગંદકી ગંદકી છે તેવી જાણ પણ હોવી જોઈ ને? આપણે એવી કેટલીય સામાજિક ગન્દકીઓને સંસ્કૃતિ કહીને પાળી રાખી છે. જે તે સમયે સામાજિક રિવાજો ભલે યોગ્ય લાગતા હોય આજે નાં પણ હોય. તેને બદલવા પડે કે નહિ? સામાજિક અને ધાર્મિક ઍલ્ફાઓએ એમના સ્વાર્થ માટે સમૂહના સ્વાર્થ જોખમમાં મૂકીને એવી કેટલીય સામાજિક અને ધાર્મિક ગંદકીઓને ધર્મ, પરમ્પરા અને સંસ્કૃતિમાં ખપાવી દીધી છે. હવે એના સામે કોઈ આંગળી ચીંધે તો નકારાત્મક વિચારો ધરાવે છે કહી રોકવામાં આવે છે. હવે જે સારું છે તે સારું જ રહેવાનું છે. એ કાઈ ખોટું થઈ જવાનું નથી. જરૂર છે ગંદું છે તેને ઉજાગર કરી સાફ કરવાની. હવે એમાં પછી કામ કરવામાં માનું છું તેવી દલીલ આવે છે. આંગળી નાં ચીંધો કામ કરો. હવે હું કે તમે દરેકના ઘર સાફ કરવા તો જવાના નથી. પણ ઘર સાફ કરી શકાય છે તેવો એક વિચાર તો મૂકી શકું છું. આતો જસ્ટ દાખલો આપું છું. એક તો પહેલું ઘર ગંદું છે તે જ ખબર હોતી નથી. અને ખબર પડે તો તેને સાફ કરી શકાય તે પણ ખબર હોતી નથી. ગંદું રાખવાની પરમ્પરા તોડી શકાય તેવી હિંમત પણ હોતી નથી.

કાર્લ માર્ક્સ શું ઘેર ઘેર ફરેલો સામ્યવાદ સમજાવવા કે અમલ કરાવવા? એક પુસ્તક રૂપે વિચાર મૂક્યો જેને સામ્યવાદ ગમતો હોય તે અમલ કરે. ગંદકી ગંદકી છે આ કોઈ પવિત્ર પ્રસાદ નથી તેવું કહેવાની હિંમત કરનાર, આંગળી ચીંધનાર આજે ભલે તમને નકારાત્મક લાગતો હોય સૌથી મોટું હકારાત્મક કામ તે જ કરી રહ્યો છે. ગંદકી આપણને સદીઓથી સદી ગઈ છે માટે ચોખ્ખાઈ રાખવામાં સ્વતંત્રતા હણાઈ જતી હોય તેવું લાગે છે, ગંદકી કરવાની સ્વતંત્રતા.. થૂંકવા માટે બે ડગલા ચાલી વોશબેસીન સુધી જવામાં જોર તો પડે જ ને? જાહેરમાં નાક ખંખેરવાની સ્વતંત્રતા કોઈ હણી લે તે ચાલે ખરું? અને જાહેરમાં નાક ખોતરવાની પરમ્પરા તો આપણી સંસ્કૃતિ છે તેના પર કોઈ તરાપ મારે તો નકારાત્મક અભિગમ કહેવાય કે નહિ? ડૉક્ટર ક્યાં નસ્તર મૂકશે? જ્યાં ગૂમડું હોય ત્યાં. ત્યારે એવું કહેવાના કે મારા પગે ગૂમડું છે તે નાં જુઓ, હકારાત્મક બનો મારા શરીરની સારી બાજુ જુઓ મારા બાવડા જુઓ કેટલા સરસ ફૂલેલા છે?

imagesCA1E1ID9મૂળ વાત વિવાદમાં પડવું નથી. વિવાદમાં પડવામાં જોખમ છે. ધર્મ અને સંસ્કૃતિના બની બેઠેલા રખેવાળો કાગારોળ કરવા માંડે છે. ગાળો ખાવી પડે છે. સર્વાઈવલ માટે થ્રેટ અનુભવાય છે. સામાજિક અસ્વીકારનું જોખમ ઊભું થઈ જાય છે. સામાજિક અસ્વીકાર એટલે ટોળાની બહાર નીકળી ભૂલું પડેલું ઘેટું બ્રેનમાંથી કૉર્ટીસોલ સ્ત્રાવ થતા બેં બેં કરવા માંડે તેવું સમજવું. ઍલ્ફાની નજરમાંથી ઊતરી જવામાં બહુ મોટું થ્રેટ અનુભવાય છે. બસ આ સામાજિક થ્રેટની બીકમાં વર્ષો સુધી લોકો સહન કરે જતા હોય છે. ખબર હોય છે ખોટું થઈ રહ્યું છે પણ સામાજિક રીતે એકલાં પડી જવાનો ડર એમને વર્ષો સીધું ચૂપ રાખવામાં કામયાબ બની જતો હોય છે. પછી જ્યારે લાગે કે હવે ઍલ્ફા નબળો પડ્યો છે હવે એના વિરુદ્ધ બોલીશું તો વાંધો નહિ આવે ત્યારે બોલવાની હિંમત આવે છે. એમાં દસ વર્ષ બળાત્કાર સહન કરતા નીકળી ગયા હોય. ત્યારે આપણને એના પર શંકા જાય કે અત્યાર સુધી કેમ નાં બોલી? ક્યાંથી બોલે? તમે ખુદ એ જગ્યાએ હોવ તો બોલો ખરા? એક બોલે પછી જેણે જેણે સહન કર્યું હશે તેઓનામાં થોડી હિંમત આવશે તે એક પછી એક બહાર આવશે.

સર્વાઈવલ માટે સંઘર્ષ કરતું મૅમલ સર્વાઈવલનાં જોખમે કદી સંઘર્ષમાં ઊતરે નહિ.

પવિત્ર લગ્નવ્યવસ્થા ડામાડોળ

134392-134202પવિત્ર લગ્નવ્યવસ્થા ડામાડોળ

જગતમાંથી પવિત્ર ગણાતી લગ્નવ્યવસ્થા હવે ડામાડોળ થઈ ચૂકી છે. યુરોપમાં હવે લુપ્તપ્રાય સંસ્થામાં એનો સમાવેશ થઈ ગયો છે. અમેરિકામાં હજુ એની સ્થિતિસ્થાપકતા જાળવી રાખી છે. છતાં ભારત જેટલી મજબૂત અમેરિકામાં રહી નથી. પણ યુરોપ કરતા એની સ્થિતિ અહીં થોડી સારી છે અને તે પણ મિડલ ક્લાસ પૂરતી. ૧૯૨૦મા અમેરિકામાં કોઈ એપાર્ટમેન્ટ કે ઘર આસપાસ કોઈ એકલાં યુવાન કે યુવતી રહેતા જોવા મળે તો લોકો ભયભીત થઈ જતા. પણ ૧૯૬૦મા તો બાળક ધરાવતી એકલી યુવતીઓ મોટા પ્રમાણમાં જોવા મળવાનું શરુ થઈ ચૂક્યું હતું. Senator Daniel Patrick Moynihan જેવા કહેવા લાગ્યા કે આ સિંગલ પેઅરન્ટહૂડને લીધે ડ્રગ અડિક્શન અને ક્રાઇમ વધી ગયા છે. કાર્યકારણ અને પારસ્પરિક સંબંધમાં ફેર હોય છે. સિંગલ મધરના બાળકો બીજા કરતા વધારે ક્રાઈમમાં સંડોવાયેલા હોય છે તેનું કારણ સિંગલ પેઅરન્ટહૂડ નહિ પણ સિંગલ પેઅરન્ટહૂડનાં લીધે મળતી ગરીબી હોય છે. સ્વીડન જેવા દેશમાં ચાઈલ્ડ પૉવર્ટી ખતમ થઈ છે ત્યાં સિંગલ પેઅરન્ટહૂડ અને ક્રાઇમ વચ્ચેનું અસોસિએશન પણ ખતમ થઈ ગયું છે.

લગ્ન કર્યા વગર કે ડિવોર્સ લઈને એકલાં બાળકો ઉછેરવાનું વધતું જાય છે તેનું મહત્વનું કારણ સ્ત્રી હવે કમાતી થઈ છે. ડિવોર્સ લઈ લેવાનું પણ મહત્વનું કારણ સ્ત્રી કમાતી થઈ છે તો સહન શું કામ કરે તે પણ છે. કમાતી હોય અને બાળકો એકલાં ઉછેરી શકવા સક્ષમ હોય તો લગ્ન કરવા જરૂરી રહે નહિ. યુરોપમાં બાળક ધરાવતી સિંગલ મધરનો રેશિયો ૧૯૯૦ અને ૨૦૧૦ વચ્ચે ડબલ કરતા વધુ(૧૭.૪ થી ૩૮.૩) થઈ ચૂક્યો હતો. યુએસમાં આ રેશિયો ૧૯૬૦ અને ૨૦૦૯ વચ્ચે ૫.૩ ટકાથી ૪૧ ટકા સુધી વધી ચૂક્યો હતો.

ધાર્મિક રૂઢીચુસ્તોને બાજુએ રાખીએ તો એક શ્રીમંત ચુનંદો વર્ગ એવો હોય છે જેના માટે લગ્ન એકલાં બાળકો પેદા કરવા માટે મહત્વનાં નથી પણ સાથે સાથે બાળકો માટે ભવ્ય શ્રીમંત વારસો ઊભો કરવાનો હેતુ પણ હોય છે. બે શ્રીમંત કુટુંબનાં સ્ત્રીપુરુષ લગ્ન વડે જોડાઈ જશે. લગ્નમાં ખૂબ ખર્ચો કરી એમની શ્રીમંતાઈનું પ્રદર્શન કરશે. આમ કરી સમાજમાં એમનું સ્ટેટ્સ ઊંચું છે તે જતાવશે. એમના બાળકો મોઢામાં સોનાના ચમચા લઈને જન્મશે..

સ્વીડન જેવા જ્યાં સમાનતા વધુ છે તેવી લોકશાહીમાં લગ્નની ચિંતા કર્યા વગર યુવાન યુવતીઓ ભેગાં રહેવા માંડતા હોય છે. જેટલી સાદાઈ અને સહજતાથી ભેગાં રહેતા થયા હોય તેટલી સાદાઈ અને સહજતાથી છૂટાં પણ પડી જતા હોય છે. અને એમનાં બાળકો સરકારની ઉદાર ચાઈલ્ડ સપોર્ટ આપવાની નીતિને કારણે મોટા થઈ પણ જતા હોય છે. એના લીધે ત્યાં બાળગરીબી કે બાળમજૂરી દૂરની વાત છે.

યુરોપની સરખામણીએ યુ.એસ.માં child poverty રેટ ઉંચો છે. એટલે મિડલ ક્લાસ લોકો માટે લગ્ન કરી જોડાયેલા રહી બાળકો ઉછેરવાનું મહત્વનું છે. મિડલ ક્લાસ નેબરહૂડમાં રહીને બાળકોને સારી સ્કૂલમાં ભણાવી શકાય. આમ યુરોપ કરતાં લગ્ન અહીં થોડું વધારે માન મેળવી જાય છે. આમ યુરોપમાં તો લગ્નસંસ્થા લગભગ તૂટી ચૂકી છે. અમેરિકામાં પણ મોટાભાગના લોકો લગ્ન કર્યા વગર જ સાથે રહેતા હોય છે. છતાં યુરોપ કરતા અહીં વધુ લોકો લગ્ન કરીને સાથે રહેતા હોય છે.

એક તો લગ્ન કરવાની આદર્શ ઉંમરમાં પાંચ થી દસ વર્ષનો વધારો થઈ ગયો છે. ધારોકે પહેલા ૨૫ વર્ષે લગ્ન કરતા તો હવે ત્રીસ વર્ષે કરતા થઈ ગયા છે. હવે તો ત્રીસ વર્ષે પણ લગ્ન કરવા વહેલું ગણતા હોય છે. ભારતમાં પણ લગભગ આવું જ થતું હોય છે. હું નાનો હતો ત્યારે છોકરાને ૨૦-૨૨ વર્ષે તો પરણાવી દેવામાં આવતો. પછી એડ્યુકેશનનું મહત્વ વધ્યું તો ૨૫ વર્ષ લગ્ન કરવાની આદર્શ ઉંમર મનાતી. છોકરીઓ માટે તો ૨૦ વર્ષ બહુ થઈ ગયા તેવું કહેવાતું. હવે એમાં પણ વધારો થયો જ છે. વર્લ્ડવાઈડ સ્ત્રીઓની લગ્ન કરવાની ઉંમર ૧૯૭૦ અને ૨૦૦૫ સુધીમાં ૨૩ થી ૨૯ થઈ ગઈ છે. આમ સ્ત્રીઓ ભણવા, કમાવા અને કેરિયર પ્રત્યે વધુ ધ્યાન આપતી થઈ છે. આમ સ્ત્રીઓ પણ લગ્ન મોડા કરતી હોય છે ડિવોર્સ ઝડપથી લેતી જોવા મળી છે.

લાંબા લગ્નજીવન ભવિષ્યમાં ઇતિહાસ બની જવાના. યુએસમાં પણ લાંબા સહજીવન ગાળતા હોય તેવા વૃદ્ધ જોડલા હજુ જોવા મળે છે. મૂળ અમેરિકા પચરંગી દેશ છે એટલે જે તે દેશનું કલ્ચર, પરમ્પરા રીતરિવાજ અને માન્યતાઓ ભાગ ભજવતી હોય એમાં કોઈ શક નહિ. સ્વાભાવિક છે કે મૂળ અમેરિકનો કરતા મૂળ ભારતીયોમાં ડિવોર્સનું પ્રમાણ ઓછું જ હોય. એમાં વર્ષો પહેલા આવેલા ભારતીયોના લગ્નજીવન લાંબા હોય તે પણ સ્વાભાવિક છે.

આખી જીંદગી એક જ પાત્ર સાથે જોડાયેલા રહીને લાંબું લગ્નજીવન માણવું બહુ જૂની વાત નથી. સારસ કે હંસ ભલે એક પાત્ર સાથે જોડી બનાવે માનવ એ ખાસિયત માટે બનેલો નથી તે હકીકત છે. ઍન્થ્રપલૉજિકલ રિસર્ચ પ્રમાણે હન્ટર-ગેધરર સમાજોમાં એક જ પાત્ર સાથે સહજીવન કાયમી નહોતા. આપણે ગમેતેટલાં હવામાં ઊડીએ અને મહાનતાની વાતો કરીએ ૧૦ થી ૧૫ હજાર વર્ષ પહેલા દુનિયાના બધા સમાજો હન્ટર-ગેધરર જ હતા. હું એક લગભગ અનાવૃત ફરતા આદિવાસી સમાજની ડોક્યુમેન્ટરી જોતો હતો. તેમાં દર બે વર્ષે પાત્ર વિધિવત્ બદલાઈ જતું. તે સમાજમાં રિવાજ જ એવો હતો.  સ્ત્રીએ બે વર્ષ થાય એટલે તત્કાલીન પુરુષ સાથી છોડી એકાદબે મહિના એકાંતમાં એક ઝૂંપડીમાં રહેવાનું પછી બીજા પુરુષ સાથે સામાન્ય વિધિવિધાન કરીને નવેસરથી રહેવાનું. સમાજ બહુ નાનો અને લુપ્તપ્રાય થતો જતો હતો. એટલે દર બે વર્ષે પતિપત્ની બદલાઈ જાય અને સમાજ સંખ્યામાં બહુ નાનો એટલે ગૃપના દરેક પુખ્ત પુરુષને ગૃપની દરેક પુખ્ત સ્ત્રી સાથે રહેવા મળી જતું. એમાં ગૃપના વૃદ્ધ પુરુષને બે વર્ષ યુવાન સ્ત્રી સાથે રહેવાનો ચાન્સ પણ મળી જાય. રોટેશન ચાલ્યા કરે. કોઈને મનદુઃખ થાય નહિ કે ભાઈ ભવિષ્યમાં જે તે સ્ત્રી સાથે કે પુરુષ સાથે બે વર્ષ ગાળવા મળવાના જ છે. અને બાળકો? બાળકો આખા સમાજના ગણાતા. બાળકોને ઉછેરવાની જવાબદારી આખા સમાજની. ખરો સામ્યવાદ કે સમાજવાદ મને અહીં દેખાણો.

લાંબા લગ્નજીવનની શરૂઆત ખેતીની શરૂઆત સાથે થઈ. લોકો જમીન માલિક બનવા લાગ્યા અને જમીનની માલિકી ભવિષ્યના ખોરાકની ગેરંટી બનવા લાગી. બધા ખેતર સરખાં હોય નહિ. કેટલાક ખેતરો વધુ ફળદ્રુપ હોય અને મોટા પણ હોઈ શકે તો અમુક ખેતરો નાના અને ઓછા ફળદ્રુપ પણ હોઈ શકે. માબાપ એમની દીકરીઓને સારા ખેતરો  સારી મિલકત હોય ત્યાં મોકલવા હરીફાઈ કરે તે સ્વાભાવિક છે. એના માટે ચૂકવવી પડતી કિંમત દીકરી લગ્ન કરીને સાથે લઈ જાય વિવિધ સ્વરૂપે, એમાં રોકડ હોય, દરદાગીના હોય અને વસ્તુઓ પણ હોય એનું રૂપાળું નામ એટલે દહેજ અને કરિયાવર. સમૃદ્ધ માબાપ સમૃદ્ધ કરિયાવર આપી સામે સમૃદ્ધ કુટુંબ સાથે ભાગ્યેજ તોડી શકાય તેવો સંબંધ બાંધી લેતા. સ્યૂટકેસ ભરીને સોનું લાવી હોય તે ગમેતેવી હોય તેની સાથે મરણપર્યાંત રહેવું જ પડે ને? અથવા ઢગલો પૈસા ખરચી વહુ લાવ્યા હોય તેને પણ કઈ રીતે છોડી શકો? બીજા ઢગલો રૂપિયા લાવવા ક્યાંથી? લગ્નવિચ્છેદ સ્ત્રી અને એના બાળકોને ઘર વગરના અને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દેતા હોય છે. માટે ખેતી પ્રધાન દેશોમાં ડિવોર્સનું પ્રમાણ ઝીરો હોય તેમાં કોઈ નવી વાત નથી. ખાસ તો સ્ત્રી જ્યારે અંગત રીતે કમાતી જ નાં હોય ત્યાં ડિવોર્સ લેવાનું વિચારી જ ના શકે. માબાપ પણ શિખામણ આપતા કે મરી જાય તો પણ ઘરનો ઉંબરો ઓળંગતી નહિ. કારણ ઘરનો ઉંબરો ઓળંગ્યા પછીની હાલત મૃત્યુથી પણ બદતર બનવાની છે. લાંબું લગ્નજીવન એટલે સુખી લગ્નજીવન સમજી લેવું નહિ. આવા લાંબા લગ્નજીવન સમાજે બાંધી આપેલી પ્રતિબદ્ધ જેલ સિવાય બીજું કશું હોતું નથી.

હન્ટર-ગેધરર સમાજોમાં વારસામાં આપવા માટે કોઈ માલમિલકત હોતી નથી ત્યાં લગ્ન બહુ સહેલાઈથી વિલીન થઈ જતા હોય છે. લગ્ન સાથે જોડાણ એક બાળક મોટું કરવા પૂરતું હોય છે. આધુનિક લગ્નો પણ લગભગ આશરે સાતેક વર્ષમાં ડિવોર્સમાં પરીણમતા જોવા મળે છે કે બાળક લગભગ મોટું થઈ ગયું છે. પક્ષીઓમાં બ્રિડીંગ સિઝન પૂરતું બોન્ડીંગ જોવા મળતું હોય છે. તેમ ઘણા બધા બાળકો ધરાવતા ફૅમિલીમાં અવતરતું દરેક નવું બાળક બ્રિડીંગ સિઝન બની કપલને હજુ વધુ સાથે રહેવા પ્રેરતું હોય તેમ બને. અને દરેક બાળકને મોટું કરવાની જવાબદારી પણ વધુ વર્ષો સાથે રહેવાની જરૂરિયાત ઊભી કરી જતી હોય છે. એટલે નાના બાળકો ધરાવતા માબાપ કરતા પુખ્ત બાળકો ધરાવતા માબાપ એકબીજા પ્રત્યે વધુ ફરિયાદ કરતા અને દુખી જોવા મળતા હોય તેવું પણ બનતું હોય છે. બાળક વગરના કપલ છૂટાં પડી જવાની શક્યતા વધુ હોય છે. જ્યારે ચારપાંચ બાળક ધરાવતા કપલ ભાગ્યેજ છૂટાં પડે. બાળકો પ્રત્યેની જવાબદારી કપલ વચ્ચે સ્ટીલ જેવું બોન્ડીંગ કરી શકે છે. પુરુષપ્રધાન સમાજમાં છોકરી કરતા છોકરો જન્મે તો વધુ સારું ગણાતું હોય છે. વધુ પડતી છોકરીઓ જન્મે તો લગ્નજીવન ભંગાણને આરે આવી જાય તેમ પણ બને.

જ્યાં બાળકો પેદા કરવા પ્રત્યે છોછ કે મનાઈ નથી કે નવા બાળકો પેદા કરે રાખવા સહજ છે ત્યાં લગ્નો સલામત છે. આધુનિક જમાનામાં આધુનિક કપલ ઓશિયાળા મલ્ટીપલ યંગ ચિલ્ડ્રન નામના ગુંદર વગર જીવતા હોય છે. આમ  low-fertility અને કમાતી સ્ત્રી લાંબા સહજીવન માટે ખતરો ઊભો થઈ જાય તેમાં નવાઈ નહિ.

ટૂંકમાં, lifelong marriage is assured for women who marry a subsistence farmer, fill the house with male children, and stay out of the paid work force.

जानामि अधर्मम न च मे निवृत्ति: ઍશોઆરામ……

 जानामि अधर्मम न च मे निवृत्ति:

“In biology nothing is more important than reproduction”, આપણા સર્વાઈવલનો આ છેલ્લો ઉપાય છે. સર્વાઈવલ માટે આખી જીંદગી લડવું પડતું હોય છે. સમૂહમાં રહેવું તે પણ સર્વાઈવલનો એક ઉપાય જ છે. સમૂહમાં રહેવાથી સર્વાઈવલની તકો વધી જાય. આપણા પૂર્વજો આપણા કરતા સર્વાઈવલ માટે ખૂબ વધુ જહેમત ઉઠાવતા હતા. પેદા કરેલા બાળકો પણ ખૂબ ઓછા બચતાં. આપણા પૂર્વજોમાં પ્રાણીઓ પણ ગણી જ લેવાના. આપણા જિન્સ જીવતા રાખવા તે જેટલા જુદી જુદી જગ્યાએ ફેલાય તેમ કરતા રહેવાની યોજનાઓ બનાવતા રહેવું પણ આપણા જિન્સમાં જ છુપાયેલું હોય છે. વધારામાં આપણી પાસે વિચારશીલ બ્રેન છે. પ્રાણીઓ સીધાસાદા ઉપાયો અજમાવતા હોય. પણ આપણે મોટું બ્રેન ધરાવતા હોશિયાર પ્રાણી હોવાથી જાત જાતની યુક્તિઓ ઘડી કાઢતા હોઈ છીએ. સર્વાઈવલ માટે આખી જીંદગી લડતા રહેવાનું સાથે સાથે અંતિમ ઉપાય તરીકે આપણા જિન્સને જીવતા રાખવા નવી પેઢીમાં આરોપી દેવા મતલબ સંતાન પેદા કરી તેને મોટા કરી નાખવા તે સર્વાઈવલનો અંતિમ ઉપાય. એટલે તો માંબાપ બનીએ તેના કરતા પણ દાદા-દાદી બનીએ ત્યારે વધુ ખુશી થતી હોય છે. કારણ આતો એક વધારાની પેઢીમાં જિન્સ આરોપાઈને સર્વાઈવ થઈ ગયા છે તેની ગેરંટી મળી ગઈ. એટલે માંબાપ તરીકે તો સંતાન પ્રત્યે કઠોર બની શકાતું હોય છે પણ દાદા-દાદી તરીકે કઠોર બનવું અશક્ય છે. મારી વાત ખોટી હોય તો કહો. imagesCAG489IA=-

હવે પુરુષને એના જિન્સ જીવતા રાખવા પાર્ટનર તરીકે સ્ત્રી જોઈએ અને સ્ત્રીને પુરુષ. પણ સ્ત્રી પાસે લિમિટેડ એગ્સ હોવાથી ક્વૉલિટી તરફ વધુ ધ્યાન આપશે પણ પુરુષ ક્વૉલિટી કરતા ક્વૉન્ટિટી તરફ વધુ ધ્યાન આપશે. એટલે મોટું બ્રેન ધરાવતા હોશિયાર પ્રાણી હોવાથી અસંદિગ્ધ યુક્તિઓ શોધી કાઢતા હોઈએ છીએ એમાં જ ઍશોઆરામ અને નારાયણ કુસાઈ જેવા કુ-મહાત્મા ઉત્પન્ન થતા હોય છે જેને આપણે ઓળખી શકતા નથી. હાઈ સ્ટેટ્સ વગર સ્ત્રી માટે જિન્સ ઉછેરવા અઘરા હોવાથી અને પુરુષ માટે હાઈ સ્ટેટ્સ વગર સ્ત્રી મળવી મુશ્કેલ હોવાથી સૌ પ્રથમ હાઈ સ્ટેટ્સ અર્જિત કરવું સૌથી વધુ મહત્વનું હોય છે. એકવાર હાઈ સ્ટેટ્સ મળ્યા પછી ભલભલાં મહાપુરુષો, નેતાઓ, ધાર્મિક ગુરુઓ સ્ત્રીઓમાં કેમ ફસાઈ જતા હોય છે? ધર્મ પણ રાજકારણની જેમ હાઈ સ્ટેટ્સ મેળવાનું એક સાધનમાત્ર બની જતું હોય છે. કારણ એક તો પહેલેથી ગરીબ હોય, બીજી કોઈ ક્વૉલિટી હોય નહિ પૈસા કમાઈને હાઈ સ્ટેટ્સ મેળવવાની, કે એવી કોઈ આવડત હોય નહિ ત્યારે રામચરિતમાનસ કે મંજીરા-કરતાલ બહુ મદદરૂપ થઈ જતા હોય છે. જો કે તે પણ એક આવડત જ કહેવાય.

બાપનું જોઇને છોકરા શીખે તેમ બિલકુલ સરખી જ સ્ટ્રેટેજી ઍશોઆરામની એનો દીકરો નારાયણ કુસાઈ અપનાવે છે. બાપની જેમ જ કથા કરવી, સ્ટેજ ઉપર નાચવું. વધારામાં છોકરીઓના લગ્ન કરાવતી વખતે હાજરી આપી વરરાજાને બદલે પોતે સેંથામાં સિંદૂર પૂરે છે અને મંગળસૂત્ર પણ વરરાજાને બદલે પોતે પહેરાવે છે. છે ને હસવું આવે તેવું? વધુ તો મને આવું બધું કરવા દેનારાઓની માનસિક અંધતા ઉપર દયા અને હસવું આવે છે. પણ આ અંધોને વગર મહેનતે મોક્ષ જોઇતો હોય છે, વગર મહેનતે સર્વાઈવ થવું હોય છે, સર્વાઈવ માટે જે પડકારો આવે તેમાંથી રાહત જોઇતી હોય છે. જેની આ લફન્ગાઓ ગેરંટી આપતા હોય છે. પછી એકવાર એમના ચક્કરમાં ફસાયા પછી ડરાવતા હોય છે અને ડરના માર્યા કમજોર કાયર લોકો જે કહે તે કરવા તૈયાર થઈ જતા હોય છે. મારું ચાલે તો ઍશોઆરામ, નારાયણ કુસાઈ સાથે એમની સામે આજે ફરિયાદ કરનારા બધાને સાથે જ જેલમાં પૂરી દઉં. મોંઘીબાનો સસ્તો દીકરો ભારતને બહુ મોંઘો પડ્યો.

એક ઍશોઆરામ સમાજમાં ઊભો થાય છે તેના માટે આપણે પોતે પણ એટલા જ જવાબદાર છીએ, આપણો લોભ, લાલસા અને ડર પણ એટલો જ જવાબદાર છે. ઍશોઆરામ કોઈ સંત-બંત છે નહી, એ હાઈ ટેસ્ટાસ્ટેરોન ધરવાતો ઍલ્ફા ચિમ્પૅન્ઝી સમજો, જે એના સમૂહ ઉપર ધાક જમાવવા આખો દિવસ બધાને ઝૂડતો હોય, બૂમો પાડતો હોય, ગૃપની માદાઓ ઉપર જોરતલબી કરતો હોય. ઍશોઆરામ એના હિંસક વલણ માટે જાણીતો છે. હાઈ ટેસ્ટાસ્ટેરોન આક્રમક સ્વભાવ આપતો હોય છે. એને હાઈ રાખવા બાવો જાતજાતના નુસખા પણ અજમાવતો હશે, વાજીકરણ હર્બલ દવાઓ ખાતો હશે. આને મિલ્ખાસિંઘ સાથે દોડાવ્યો હોત તો નક્કી ગોલ્ડ મેડલ લઈ આવતો.

મેં વડોદરામાં એક પુરુષ પણ પોતાને માડી મતલબ માતાજી તરીકે ઓળખાવતા ભાઈને જોયા છે. તેઓના ભક્ત જો એમના દરબારમાં નિયમિત હાજરી પુરાવે નહિ તો ધમકી આપતા કે માડીના દરબારમાં હાજરી પુરાવતા નથી પછી કહેતા નહિ કે માડીએ તકલીફ આવી ત્યારે સામું જોયું નહિ? તેઓ થોડી પ્રેક્ટીશ હોવાથી ગરમ તેલમાં પુરીઓ તળવા નાખતા અને હાથથી જ ઉપાડી લેતા, ચીપિયો વાપરતા નહિ ત્યારે બધાને ચમત્કાર લાગતો અને મને મારા ખેડૂત શંકર ડાભલ અને કચરો યાદ આવી જતો કે તેઓ સળગતા અંગારા ઉપાડીને ચલમ ઉપર મૂકી ફૂંકવા માંડતા. હું કહેતો પણ ખરો કે અલ્યા ડોહા આ સળગતો અંગારો ઉપાડો તો દાઝતા નથી? ત્યારે તેઓ હસતા કે બાપુ આ હાથ તો જુઓ પાવડા પકડી પકડી સખત થઈ ગયા છે અંગારો શું દઝાડે?

ચાલો માની લઈએ કે તમે ભગવાનમાં માનો છો તે બરોબર છે. તો ભગવાન એકલા મારો કે તમારો હોય ખરો? પહેલું તો ભગવાન કોઈ વ્યક્તિ હોય ખરો? અને હોય તો બીજા પ્રાણીઓનું શું? એમનો ભગવાન કેવો હશે? ચાલો છે અને હું એને ભજું તો મને હાર્ટઅટૅક આવે અને બચાવે તો પેલાં લાખો લોકો એને માનતા હોય છે, રોજ પ્રાર્થના કરતા જ હોય છે અને હાર્ટઅટૅકમાં કે બીજા કોઈપણ કારણસર મરી જતા હોય છે તેમની કેમ ફેવર કરી નહિ? જેને આપણે પ્રગટ બ્રહ્મ કહીએ છીએ તેઓ પણ હાર્ટઍટૅકમાં સપડાય ત્યારે શું માનવું? કર્મના નિયમના ઇક્સક્યુઝ મારે નથી જોઇતા. એ તમામ બાબતોમાં બહુ સરસ ઇક્સક્યુઝ બને છે. આ એક ઇક્સક્યુઝ બતાવીને જ બાવાઓ તેમની જવાબદારીમાંથી છટકી જતા હોય છે. ભગવાન મારી ફેવર કરે અને તમારી નાં કરે તો પછી ભગવાન ભેદભાવ કરે છે તે સાબિત થઈ જાય. ભગવાન મારા તમારા વચ્ચે ભેદ કરે ખરો? અને કરે તો ભગવાન શાને કહેવાય? પહેલું તો મારો અને એક મુસલમાનનો અને એક ક્રિશ્ચનનો ભગવાન જુદો જુદો કેમ હોય? બધા અવતાર મારે ત્યાં જ થાય અને ચીનમાં કેમ નાં થાય?

ભગવાન એક હોય કે હજારો લાખો હોય? દસ દસ અવતારો જ્યાં થયા હોય તેવી પુણ્યભુમી ફક્ત એક જ ભગવાનમાં માનનારી પ્રજાઓના હાથ નીચે આશરે હજાર વર્ષ ગુલામ કેમ રહી? શું આખા ભારતે એટલા બધા પાપ ગત જન્મોમાં કર્યા હશે? એક પેઢી ૬૦ વર્ષની ઍવરિજ ગણીએ અને ઇગ્ઝૅક્ટ ૬૦ વર્ષે મરવા સમયે છોકરા પેદા થાય ત્યારે ૧૫ પેઢી થાય. તો ૧૫ પેઢી ગુલામ રહી કે નહિ? પંદર પેઢીઓ સુધી કયાં પાપના પ્રતાપે ગુલામી વેઠીને અચાનક આઝાદ થઈ ગયા?

ચાલો હવે કર્મના નિયમ તરફ આવીએ. કર્મનો નિયમ સચોટ હોય અને કર્મના ફળ ભોગવવાના જ હોય તો પછી ભગવાનની હોય તો પણ શું જરૂર છે? ભગવાન હોય તો પણ કર્મના ફળમાંથી બચાવવાનો છે જ નહિ તો હોય કે નાં હોય શું ફરક પડે છે? હોય તો એને એનું કામ કરવા દો. શૂળીનો ઘા સોયથી સરે તેવું કહેનારા કર્મના નિયમને ખોટો પાડે છે. શૂળીનો ઘા સોયથી સરે તો કર્મનો નિયમ જ ખોટો ઠરે. કર્મના નિયમને માનો અથવા ભગવાનને માનો.

આપણો પ્રૉબ્લેમ એ છે કે આપણે ભગવાન અને કર્મના નિયમ બંનેને સાથે માનીએ છીએ. એક બાજુ કહીએ છીએ કે ભગવાન બચાવે અને એકબાજુ કહીએ છીએ કરેલા કર્મ ભોગવવા પડે. મોસ્ટ કન્ફ્યૂઝ્ડ પ્રજા છીએ આપણે. બંને સાથે પણ માની શકાય પણ એમાં ભગવાનને એનું કામ કરવા દો, ના એ કોઈની ફેવર કરે નાં એ કોઈનું બગાડે, તમારી જવાબદારી તમે ભોગવો, નાં એ કોઈનો જુદો હોય. નાં એ દયાળુ હોય નાં એ ક્રૂર હોય. હોય તો બધે જ હોય, કણ કણમાં હોય અથવા કશે નાં હોય. હવે બધે કણ કણમાં હોય તો પણ કામનો નથી અને બધે નાં હોય તો કોઈ સવાલ જ નથી. પણ આપણે બધા લાડવા એક સાથે ખાવા છે. બસ અહીં જ ધૂતારાઓની લીલા શરુ થાય છે. આપણા ડર આપણા લોભ, લાલચ અને કન્ફ્યૂઝન નો મહત્તમ ઉપયોગ કરવાનું જેને આવડી જાય તે મોટો મહાત્મા મોટો ગુરુ બની જાય છે.

જેવો ગુરુ ધન, પદ, સત્તા મેળવી હાઈ સ્ટેટ્સ પ્રાપ્ત કરી લે છે કે તરત ઇવલૂશનરી ફોર્સને તાબે થઈ મહત્તમ જિન્સ ફેલાવવા અચેતનરૂપે સ્ત્રીઓ પાછળ લાગી જતો હોય છે. સ્ત્રીઓ પાછળ લાગી જવાની લાંબી યોજના રૂપે હાઈ સ્ટેટ્સ યેનકેન પ્રકારે પ્રાપ્ત કરાતું હોય છે તેમ કહેવું વધુ યોગ્ય છે. નેતાઓ પણ અન્કૉન્શયસલી આજ કરતા હોય છે.

 કર્મના નિયમમાંથી ભગવાન પણ બચાવી શકવાનો નાં હોય તો ગુરુ ક્યાંથી બચાવશે? તો પછી ગુરુને તાબે થવાની ક્યાં જરૂર છે? ગુરુ પોતે જ હવે જેલમાં ગયા છે તેમને કોણ બચાવશે? તમે કોઈ વ્યક્તિને ભગવાન માની લો અને જ્યારે તે આપણા માટે કશું કરી નાં શકે ત્યારે બહુ મોટો આઘાત લાગતો હોય છે. તે વ્યક્તિ પોતે જ મજબૂર હોય છે. એના પોતાના પ્રૉબ્લેમ્સ અનેક હોય છે, તે પોતે વળી બીજા ભગવાનને કગરતો હોય છે કે મને બચાવ. એને પણ ચૂંટણી લડવાની હોય છે. એને પણ દિલ્હી જવું હોય છે, એમાય પાછાં એના ગુરુ નડતા હોય છે. કારણ ગુરુને પણ દિલ્હીની ગાદી કબજે કરવાનો મોહ હોય છે.

ફક્ત સર્વાઇવલની અને શબ્દો વગરની કેમિકલ્સની ભાષા જાણતું નાનું મગજ કાયમ હાવી થઈ જતું હોય છે. મોટું મગજ જે વિચારશીલ છે તે બધું જાણતું હોય છે પણ છેવટે કરોડો વર્ષથી તમારા અસ્તિત્વ માટે કારણભૂત છે, જે ગમે તેવી વિષમ સ્થિતિઓ હોય તમને કરોડો વર્ષોથી બચાવતું આવ્યું છે તે મૅમલ બ્રેન હાવી થઈ જતું હોય છે. એટલે દુર્યોધન કહેતો હતો કે ધર્મ શું તે હું જાણું જ છું પણ તેમાં પ્રવૃત્ત થઈ શકતો નથી, અને અધર્મ શું તે હું જાણું છું પણ એમાંથી નિવૃત્ત થઈ શકતો નથી. जानामि धर्मम न च मे प्रवृत्ति:, जानामि अधर्मम न च मे निवृत्ति: ખરેખર તો મૅમલ બ્રેન કોઈ અધર્મ આચરતું નથી તેનો તો એક જ ધર્મ છે યેનકેન પ્રકારે તમને બચાવવાનો તે પણ સદીઓ સુધી..

દોઢડાહ્યાઓએ કહેલો ધર્મ જો મૅમલ બ્રેને માન્યો હોત તો આજે આપણું અસ્તિત્વ જ ના હોત..

                                                                                                                           ભૂપેન્દ્રસિંહ રાઓલ

                                                                                                                            ૧૦ સપ્ટેમ્બર, ૨૦૧૩

                                                                                                                             એડિસન, ન્યુ જર્સી.

મિત્રતા-ફેસબુક ફંડા

imagesCADB57MYમિત્રતા-ફેસબુક ફંડા

જંગલમાં એકલો રહેતો હોય કે જેલમાં કાળકોટડીમાં એકલો પૂરેલો હોય, માનવી પશુ-પ્રાણી કે કોઈ પણ જીવજંતુ ને મિત્ર બનાવી લેતો હોય છે. મિત્રતાનો આધાર ત્રણ બાબતો ઉપર હોય છે. કે ત્રણ પ્રકારની મિત્રતા હોય છે. એક મિત્રતા ઉપયોગિતા પર આધાર રાખતી હોય છે. બીજી મિત્રતા આનંદપ્રમોદ ઉપર આધાર રાખતી હોય છે અને ત્રીજી મિત્રતા નૈતિકતા કે ચારિત્ર્ય અને ગુણો કે આચારવિચાર ઉપર આધાર રાખતી હોય છે.

સ્કૂલમાં વિદ્યાર્થીઓ એકબીજાને નોટ્સ, પુસ્તકો અને સાધનો વગેરેની આપલે કરતા હોય છે. પડોશીઓ એકબીજાની વસ્તુઓ શેઅર કરતા હોય છે. અમારા પાડોશી શાંતાબેન બે મરચાં, એકાદ લીંબુ કે એકાદ ડુંગળી લેવા કાયમ આવી જતા. આવી મિત્રતાનો આધાર ઉપયોગિતા ઉપર ટકતો હોય છે. ઉપયોગિતા ખતમ મૈત્રી ખતમ.

ઘણા મિત્રો ખૂબ હસમુખા હોય છે. એમની કંપનીમાં આનંદ આવી જાય. જોડે ફિલમ જોવા જઈએ. કોઈ પ્રોગ્રામ માણવા જઈએ. ઘણા ખર્ચાળ પણ હોય મિત્રો માટે પૈસા ખર્ચતા વાર નાં કરે. આમ એક મૈત્રીનો આધાર આનંદ-પ્રમોદ, મોજશોખ હોય છે. આનંદ ખતમ મૈત્રી ખતમ.

સદાચાર, સદભાવ, સમાન વિચારસરણી, ગુણ આધારિત નૈતિક મિત્રતા કાયમ ટકી જતી હોય છે. આવી મિત્રતામાં આનંદપ્રમોદ અને ઉપયોગિતા સમાયેલી હોય તે વાત જુદી છે. આવા મિત્રતામાં એકબીજાની સારપ વધુ જોવાતી હોય છે. એમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ હોય છે.

એક ઇન્ટરનેશનલ અભ્યાસ (McAndrew & Jeong, 2012) મુજબ ફેસબુકમાં સૌથી વધુ એક્ટીવ યુવાનો, સ્ત્રીઓ અને સિંગલ હોય છે. તેઓ ઇમ્પ્રેશન વધારવા માટે ફોટા, સ્ટેટ્સ અને પોસ્ટ અપડેટ કરવા બીજા લોકો કરતા વધુ સમય ફેસબુક પર ગાળતા હોય છે. ઓલ્ડર યુઝર્સ ફેમિલી રીલેટેડ ફેસબુક એક્ટીવીટીમાં વધુ વ્યસ્ત હોય છે. ટૂંકમાં યુવાન સ્ત્રીઓ ઇચ્છતી હોય કે લોકો તેમને વધુ જુવે અને ઓલ્ડર યુઝર્સ ફેમિલી સાથે સંપર્કમાં રહેવા ઇચ્છતા હોય છે.

રોજીંદી જીવન ઘટમાળમાં આપણે નાના મોટા અસ્વીકાર અવહેલના ભોગવતા જ હોઈએ છીએ. સાથે કામ કરતા સાથીઓ આપણને મૂકીને લંચ લેવા જતા રહેતા હોય, સગાસંબંધી આપણો જન્મદિવસ ભૂલી જતા હોય, પડોશીઓ એમના ત્યાં રાખેલી પાર્ટીમાં આમંત્રણ આપતા નથી, મિત્રો આપણને મૂકીને ફિલ્મ જોવા જતા રહેતા હોય, પતિ કે પત્ની એકબીજાની કામેચ્છા પૂરી કરવાની વિનંતીનો કઠોર અસ્વીકાર કરતા હોય, કોઈને કોઈ દ્વારા આપણી લાગણીઓ ઘવાયા વગર ભાગ્યેજ કોઈ દિવસ કે અઠવાડિયું પસાર થાય. પણ હવે Facebook, Twitter, Linkedin, Instagram જેવી અનેક સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ આપણને લાગણીઓમાં તરબતર કરવા આવી પહોચ્યાં છે, પણ જેટલી સ્વીકારની સંભાવનાઓ વધે તેમ અસ્વીકારની સંભાવનાઓ પણ ખૂબ વધી જતી હોય છે. એટલે કોઈ મિત્ર લાઈક આપવાનું ભૂલી જાય કે રિટ્વીટ કરવાનું ભૂલી જાય ત્યારે પેલાં રિઅલ લાઇફ રિજેક્શન જેવું અહીં પણ અનુભવાય છે. આપણા ટહુકા નો કોઈ પ્રતિસાદ આપવામાંથી છટકી જાય ત્યારે ખૂબ લાગી આવતું હોય છે. લાઈક કોમેન્ટ્સનાં વાટકીવ્યવહાર ના સચવાય તે એક જાતનો સામાજિક બહિષ્કાર જેવું લાગતું હોય છે.

સમજો જ્યારે આપણે કાયમ પાડોશીને નાની મોટી પાર્ટીમાં યાદ રાખીને બોલાવતા હોઈએ પણ તેના ઘેર પ્રસંગ આવે ત્યારે આપણને ભૂલી જાય ત્યારે જે દુઃખ થાય કે લાગણી ઘવાય છે તેવી જ સરખી અનુભૂતિ અહીં ફેસબુકમાં તમને કોઈ મિત્ર દ્વારા લાઈક કે પ્રતિભાવ નાં મળે ત્યારે થતી હોય છે. શારીરિક પેએન વખતે બ્રેનમાં જે વિભાગો વધુ હલચલ બતાવે છે તે જ વિભાગો સામાજિક અસ્વીકાર વખતે પણ વધુ હલચલ બતાવતા હોય છે. એટલે તમને પગમાં ઠેસ વાગે અને અંગૂઠામાં દુખાવો થાય ત્યારે, અને કોઈ સગા એમના ઘેર સારા પ્રસંગે આપણને યાદ નાં કરે અને આપણી લાગણી ઘવાય ત્યારે, અને આપણો મિત્ર આપણી પોસ્ટને લાઈક નાં આપે કે પ્રતિભાવ નાં આપે ત્યારે બ્રેનમાં સેઇમ વિભાગ એક્ટીવ થતા હોય છે. જો આટલું સમજાઈ જાય તો હવે કોઈ લાઈક નાં આપે તો દુઃખ ઓછું થશે.

ઘણીવાર આપણે વધુ પડતું વિચારી લેતા હોઈએ છીએ. માનો કે આપણે કોઈને Linkedin માં જોડાવા આપણી સાથે આમંત્રણ આપીએ પણ તે સ્વીકારે નહિ તો ખોટું લાગતું હોય છે પણ એવું બને કે પેલો ભાઈ Linkedin કદી ખોલતો જ નાં હોય કે વાપરતો જ નાં હોય. હું પોતે ટ્વીટર પર જતો નથી. મારા લેખોની લિંક ઓટ્મેટિક ટ્વીટર પર આવી જતી હોય છે. હું ગુગલ પ્લસ પણ ખાસ વાપરતો નથી. એટલે મને તે સાઈટ્સ પર કોઈ શું કરે મને ખાસ ખબર હોતી નથી. ફેસબુક ઉપર પણ હું આખો દિવસ હોઉં નહિ. બીજું અમારો ટાઈમ ડિફરન્સ પણ ધ્યાનમાં રાખવો પડે. અમારો સુવાનો ટાઈમ થાય ત્યારે તમે કોઈ પોસ્ટ મૂકી હોય જેની અમને જાણ થાય નહિ. હજારો પોસ્ટ અને સ્ટેટ્સ મૂકાતાં હોય ત્યાં કોઈ મિત્રનું ક્યાંય પહોચી ગયું હોય દેખાય પણ નહિ. એટલે જો આપણને સોશિઅલ મીડિયા પર ૧૦૦૦ વખત અસ્વીકાર(રિજેક્શન) અનુભવાય ત્યારે ૯૯૯ વખત કોઈનો અંગત ઇરાદો એવું કરવાનો હોતો નથી. ઘણી બધી જાતજાતની પોસ્ટ મૂકાતી હોય, ફોટા હજારો જાતના મુકાતા હોય છે. મને પોતાને ફોટા મૂકવામાં રસ નથી પડતો. અને એવા મૂકેલા ફોટા પ્રત્યે મારું ખાસ ધ્યાન પણ નાં હોય. દરેકના રસ જુદાજુદા હોય. એટલે જેટલું સોશિઅલ મીડિયા પર સમૃદ્ધ થવાની તકો હોય તેટલી જ તકો રિજેકશનની પણ હોય છે.

ફેસબુક પર લાખો પેજ છે. હેલ્થને લગતા હજારો પેજ હશે. હજારો લાખો ગ્રુપ્સ ચાલતા હશે. જેને જે ભાવે તેમાં જોડાઈ જાય. પોતાના ધંધાની જાહેરાતના પેજ હોય છે તેમ નિઃસ્વાર્થ સેવાભાવી સંસ્થાઓના પણ પેજ છે. આતો જાહેર અન્નકૂટ છે જેને જે ભાવે તે ખાઈ લે.

ફેસબુક વાપરતા બાળકોનાં માતાપિતા ચિંતા કરતા હશે કે એનાથી બાળકોની બુદ્ધિમત્તા પર અસર પડશે. પણ એક અભ્યાસ એનાથી ઊલટું કહે છે. જો કે વધુ પડતો ઉપયોગ સમય બગાડે તે હકીકત છે. પણ અભ્યાસ જતાવે છે કે જે ૧૫-૧૮ વર્ષના બાળકો એક વર્ષ કરતા વધુ સમયથી ફેસબુક વાપરતા હોય તેઓની વર્કિંગ મૅમરી, વર્બલ આઈ કયું, અને સ્પેલિંગ જ્ઞાન એક વર્ષ કરતા ઓછા સમયથી ફેસબુક પર એક્ટીવ હોય તે બાળકો કરતા વધુ હોય છે. કારણ આખી દુનિયામાંથી માહિતીનો ધોધ અહીં વહેતો હોય છે. એની સાથે અનાયાસે રમતા રમતા અનાયાસે ચિંતનમનન થઈ જતું હોય છે.

એક અભ્યાસ જણાવે છે કે ૫૦ વર્ષ વટાવ્યા પછી એકલતા માનવીમાં બ્લડ પ્રેશર વધારવાનું કામ કરતી હોય છે. એટલે એકલતાના નિવારણ માટે મિત્રો હોય તે જરૂરી છે. પણ એવું જરૂરી નથી કે એકલતા દૂર કરવા અસંખ્ય મિત્રો જોઈએ. કે જેમ મિત્રો વધુ તેમ એકલતા વધુ દૂર રહે. એકલતા તમે કેટલા એકલા છો તેના પર આધાર નથી રાખતી પણ તમે કેટલું એકલવાયું અનુભવો છો તેના પર આધાર રાખે છે. ઘણીવાર સગાંસંબંધીઓનાં ટોળા વચ્ચે પણ માણસ એકલતા અનુભવતો હોય છે. ક્યારેક બહુ મોટી પાર્ટીમાં પણ ઘણીવાર એકલતા અનુભવાતી હોય છે. અને ક્યારેક મારા જેવાને સારા પુસ્તકો વાંચવા મળી જાય તો એકલો હોઉં તો પણ એકલતા લાગે નહિ..આમ મિત્રતામાં ગુણવત્તા વધુ મહત્વની છે સંખ્યા નહિ. બહુ ઓછા મિત્રો સાથે પણ એકલતા નિવારી શકાતી હોય છે. અરે! જેની હાજરીમાં એકલતા ગાયબ થઈ જાય તે સારો મિત્ર, બોર નાં કરે તે સારો મિત્ર, જેની હાજરીમાં કમ્ફર્ટેબલ ફીલ કરી શકાય, જેને મળીને જ ખુશ થઈ જવાય, તે સારો મિત્ર..

ફેસબુક પર ગમે તેટલા ફ્રેન્ડસ હોય ખરેખર આપણે બહુ ઓછા મિત્રો સાથે interact ક્રિયાપ્રતિક્રિયા કરી શકતા હોઈએ છીએ. ૫૦૦ મિત્રો ફેસબુક પર હોય તો ભાગ્યેજ ૧૫-૧૭ મિત્રો સાથે અરસપરસ interact કરી શકતા હોઈએ છીએ એવું એક અભ્યાસ બતાવે છે. આ વર્ચ્યૂઅલ ફેન્ડશીપ ક્યારેક રિઅલ મિત્રતામાં પણ બદલાઈ જતી હોય છે. પરદેશમાં રહેતા ફેસબુક મિત્રો દેશમાં આવીને વર્ચ્યૂઅલ મિત્રોની મુલાકાત લઈને એમને રિઅલ મિત્રો પણ બનાવી લેતા હોય છે.

ફેસબુક કે બીજી કોઈપણ સોશિઅલ વેબસાઈટ ઘણા માટે જાત સાથેની ઓળખ પણ બની શકતું હોય છે. હું શરૂમાં ફેસબુક પર ખાસ આવતો નહિ. મને ખુદને ખબર નહોતી કે આ ઇન્ટરનેટ મને લખતા કરી દેશે. મેં સપને પણ વિચાર્યું નહોતું કે હું લખતો થઈ જઈશ. શરૂમાં મેં ઓનલાઇન વાંચવા મળતા દિવ્યભાસ્કરમાં કોઈ લેખ નીચે ટિપ્પણી લખવાનું શરુ કરેલું. એમાંથી પોતાનો બ્લોગ બનાવી લખવાનું શરુ કરેલું. તે સમયે મારા વિચારો અસ્તવ્યસ્ત રીતે લખીને બ્લોગમાં મૂકતો થયેલો. પણ બીજા બ્લોગર મિત્રોએ એને સરાહવાનું શરુ કર્યું એમાં મને વધુને વધુ લખવાની ચાનક ચઢવા લાગી. ધીમે ધીમે ઘડાતો ગયો અને લખાણ પણ સુધરતું ગયું. ફેસબુક પર ભાગ્યેજ આવતો. ફેસબુક પર સૌ પ્રથમ મારી જાહેર ઓળખ આપનાર મિત્ર દર્શિત ગોસ્વામી બન્યા. એમણે મારો એક લેખ મારા નામ સાથે ફેસબુક પર પ્રસિદ્ધ કર્યો એને મિશ્ર પ્રતિભાવો મળેલા. થેન્ક્સ દર્શિત.

ફેસબુક દ્વારા મને ખૂબ સારા મિત્રો મળ્યા છે. તમારી અંદર છુપાયેલી પ્રતિભા બહાર કાઢવાનું ફેસબુક સારું માધ્યમ બની શકે છે. ઈમેલ અને બ્લોગ દ્વારા બહુ ઓછા મિત્રો સાથે સંપર્કમાં રહી શકાય છે પણ ફેસબુક દ્વારા એકસાથે અનેક મિત્રો અને સગાસંબંધી સાથે સંપર્કમાં રહી શકાય છે. જૂની ઓળખાણો તાજી થતી હોય છે. કોઈપણ વસ્તુની સારીનરસી બાજુઓ હોય છે તેમ ફેસબુકને પણ હોય છે. કૉલેજ સ્ટુડન્ટ વચ્ચે કરાયેલો એક અભ્યાસ જતાવે છે કે જે લોકો ફેસબુક ઉપર પોસ્ટ અને સ્ટેટ્સ વધુમાં વધુ અપડેટ કરતા રહેતા હોય છે તેઓ સામાન્ય સંખ્યામાં સ્ટેટ્સ અને પોસ્ટ અપડેટ કરતા લોકોની સરખામણીએ ઓછી એકલતા અનુભવતા હોય છે.

સારી તંદુરસ્તી માટે આપણને ખબર છે કે પૌષ્ટિક ખોરાક લો, નિયમિત કસરત કરો, અને પૂરતો આરામ કરો, પણ કેટલા જાણે છે કે એની સાથે સામાજિક જોડાણ પણ મહત્વ ધરાવે છે? સામાજિક જોડાણ શારીરિક અને માનસિક હેલ્થ ઈમ્પ્રુવ કરે છે તે પણ જાણવા જેવું છે. વધુ પડતું વજન હેલ્થ માટે નુકસાનકારક છે જ પણ તેના કરતા વધુ નુકશાન જો તમે સામાજિક સંબંધો નાં ધરાવતા હોવ ત્યારે થતું હોય છે તેવું પણ એક અભ્યાસ જણાવે છે. ખૂબ મજબૂત સોશિઅલ કનેક્શન ધરાવતા લોકોનું આયુષ્ય વધવાના ચાન્સ ૫૦ ટકા વધી જતા હોય છે. સોશિઅલ કનેક્શન આપણી ઈમ્યુન સિસ્ટિમ મજબૂત કરે છે. Steve Cole નામના વૈજ્ઞાનિકે રિસર્ચ કરેલું છે કે સોશિઅલ કનેક્શન આપણી ઈમ્યુન સિસ્ટિમ ઈમ્પ્રુવ કરે છે જેના લીધે બીમારીમાંથી જલદી બહાર આવી જવાય છે અને તેના લીધે આયુષ્ય પણ વધે છે. જે સામાજિક રીતે બીજા લોકો સાથે વધુ કનેક્ટેડ હોય છે તેઓને anxiety અને depression ઓછું થતું હોય છે. સામાજિક મજબૂત જોડાણ સેલ્ફ એસ્ટીમ વધારે છે, બીજા પ્રત્યે સહાનુભૂતિમાં વધારો કરે છે સાથે સાથે સહકારની ભાવના વિકસે છે, તેનો લાભ બીજાને મળે તો સામેથી આપણને પણ મળતો જ હોય છે. “પરસ્પર દેવો ભવઃ”

ઓછું સામાજિક જોડાણ ધરાવતા લોકોની શારીરિક અને માનસિક હેલ્થ ઓછી થતી જાય છે જેના લીધે એન્ટીસોશિઅલ પ્રવૃત્તિ વધવાનું જોખમ પણ વધી જતું હોય છે તેમ તેમ એકલા પડવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે. એન્ગઝાયટિ, ડિપ્રેશન અને અસામાજિક વૃત્તિઓ સામે અસહાયતા ક્યારેક આત્મહત્યા તરફ દોરી જાય છે.  We are biologically, cognitively, physically, and spiritually wired to love, to be loved, and to belong. આવું ના બને તો ભાંગી પડાતું હોય છે, સંવેદનહીન બની જવાતું હોય છે જે એકંદરે નુકશાન કરતું હોય છે. આપણે વિચારીએ છીએ કે આપણે ધનિક થવા માંગીએ છીએ, સત્તા અને પ્રસિદ્ધિ મેળવવા માંગીએ છીએ, સૌન્દર્ય અને અમર યુવાની ઇચ્છીએ છીએ, નવી કાર જોઈએ છે, પણ આ બધી ઇચ્છાઓના મૂળમાં સામાજિક સ્વીકાર ઇચ્છતા હોઈએ છીએ, કોઈને પોતાના બનાવવા અને કોઈના બનવા માંગતા હોઈએ છીએ. હવા, ખોરાક અને પાણી સાથે સોશિઅલ કનેક્શન આપણી મૂળભૂત ચોથી જરૂરિયાત છે.

મૂવી જોતા વખતે આપણે ભૂલી જતા હોઈએ છીએ કે આ પડદા પર નૃત્ય કરતા દ્ગશ્યોના ટુકડા એકધારા લયમાં ઝડપથી પસાર થતા પારદર્શક ચિત્રો જ છે. આપણે એમાં માનસિક રીતે ઇન્વોલ્વ થઈ જતા હોઈએ છીએ. બસ તેવું જ ફેસબુક જેવા વર્ચ્યૂઅલ જગતનું પણ છે. અને ખરેખર આ વર્ચ્યૂઅલ જગત વર્ચ્યૂઅલ પૂરેપૂરું હોતું પણ નથી. ભલે આપણે ફેસબુક મિત્રોને મળ્યા નાં હોઈએ પણ હકીકતમાં તેઓ બીજા દેશમાં કે શહેરમાં બેઠેલા હોય છે તો ખરા જ. ફેક આઈડી પાછળ પણ કોઈ જીવંત વ્યક્તિ છુપાયેલો તો હોય જ છે. એવા મિત્રોને ખરેખર મળવાના ચાન્સ ૧૦૦ ટકા હોય જ છે. એટલે ભલે ના મળ્યા હોઈએ એમના સુખે સુખી અને એમના દુઃખે દુઃખી પણ થવાતું જ હોય છે, એના માટે કોઈ રિસર્ચની જરૂર નથી. જેને હું કાયમ ઝાઝું લક કહીને સંબોધન કરતો હતો તે ઝલક પાઠકની કાયમી વિદાયનાં સમાચાર સાંભળી વહેલા આંસુ વર્ચ્યૂઅલ નહોતા તે એની સાબિતી છે.

રેફરન્સ

        :   http://www.sciencemag.org/content/241/4865/540.short

        :   http://www.pnas.org/content/early/2011/03/22/1102693108.abstract

        :   http://www.psy.cmu.edu/~scohen/Pressman,%20S.,%20Cohen,%20S.,%20Miller,%20G.%20E.,%20Rabin,%20B.%20S.,%20Barker.pdf

ભૂખ લગે તો ખાના ખાઓ ડર લગે તો ગાના ગાઓ-૨

imagesCA8VIC92ભૂખ લગે તો ખાના ખાઓ ડર લગે તો ગાના ગાઓ-૨

જ્યારે આપણે કોઈ અજાણ્યા ને જોઈએ ત્યારે કે કોઈ અજાણ્યા સાથે મુલાકાત થાય ત્યારે આપણું એમિગ્ડલા (amygdala) સ્ટ્રેસ હૉર્મોન રિલિસ કરતું હોય છે. આ એક ચેતવણી સૂચક છે. અજાણ્યો જોખમકારક પણ હોઈ શકે. આપણી સોસાયટીમાં કોઈ અજાણ્યા ચહેરાને ચક્કર મારતા જોઈએ કે કોઈ નવો રહેવાસી આવે ત્યારે પણ આવું જ થાય. મતલબ અજાણ્યાથી દૂર રહેવું સારુ કે એનાથી દૂર ભાગી જવું, ખોટું જોખમ લેવું ? પણ સાથે સાથે અચેતનરૂપે  Social Engagement System શરૂ થતી હોય છે. કારણ અજાણ્યો માનવી પણ અચેતનરૂપે સિગ્નલ મોકલતો હોય છે, જેવું કે સામે જોઈને હસવું. હવે આ સિગ્નલ વડે લાગે કે કોઈ જોખમ જેવું લાગતું નથી કે અજાણ્યાનો વિશ્વાસ કરાય તેવો છે ત્યારે સોશિઅલ ઇંગેજમન્ટ સિસ્ટમ “Vagal Brake” શરુ કરે છે, (neurological stimulation of the vagus nerve, that slows the heart and causes the parasympathetic nervous system to reduce arousal).

ધારો કે આપણને કોઈ પાર્ટી કે કોઈ લગ્ન પ્રસંગે જવાનું આમંત્રણ મળી ગયું છે અને તે દિવસ આવતાં આપણે ત્યાં સ્થળ ઉપર જઈએ છીએ. હવે જેણે આમંત્રણ આપ્યું હોય તે આવકારવા દેખાય નહીં અને સાવ અજાણ્યા ચહેરા નજરે આવે તો એમિગ્ડલા તરત સ્ટ્રેસ હૉર્મોન સ્ત્રાવ કરશે. તો પહેલો રિસ્પૉન્સ એવો આવશે કે ચાલો ઘેર જતા રહીએ. સ્થળ છોડી જવાથી તરત રાહત થઈ જાય પણ ભલે અજાણ્યો હોય કોઈ માનવી સામે જોઈ મલકાશે અથવા કેમ છો કહી વાતચીત કરવાનો પ્રયત્ન કરશે તો તરત પેલી તાત્કાલીક ઘેર જવાની ઇચ્છા અદ્રશ્ય થઈ જશે. છતાં હજુ એમિગ્ડલા સ્ટ્રેસ હૉર્મોન સ્ત્રાવ કરવાનું ચાલું જ રાખશે કારણ હજુ પેલો માનવી અજાણ્યો છે. આ સ્ટ્રેસ હૉર્મોનના લીધે હાર્ટ બીટ મિનિટના ૧૦૦ કરતાં વધી જવાના. થોડી વધુ વાતચીત થાય, કોઈ નવી ઓળખાણ નીકળે અને આપણી સોશિઅલ ઇંગજમન્ટ સિસ્ટમ વાંચી લે કે અજાણ્યો લાગતો માણસ કોઈ જોખમી નથી Vagal Brake શરૂ જે હાર્ટ બીટ ૧૦૦ ઉપરથી ૭૦ ઉપર લાવી મૂકશે.

સોશિઅલ ઇંગજમન્ટ સિસ્ટમ પાસે એક બીજી વધારાની સગવડ છે તમને શાંત પાડવાની. તે anti-anxiety hormone oxytocin સ્ત્રાવ કરશે. જે ફિઅર સિસ્ટમનું શટર બંધ કરશે. ઑક્સિટોસિન એમિગ્ડલાને સતત સ્ટ્રેસ હૉર્મોન છોડતું હંગામી ધોરણે અટકાવશે. ફિઅર સિસ્ટમના દ્વાર બ્રેન કેમ બંધ કરતું હોય છે ? Nothing is more important in biology than reproduction. હવે આ અજાણ્યા ભાઈ જે આપણી સાથે વાતચીત કરીને સંબંધ વધારી રહ્યા છે તેમની બાજુમાં કોઈ યુવતી આવી જાય એમને શોધતી શોધતી તો ? એમિગ્ડલા જે સ્ટ્રેસ હૉર્મોન્સ સ્ત્રાવ કરતું હોય છે તેના ઉપર નિયંત્રણ આવી જશે. Inhibition of the amygdala facilitates mating with a person who is genetically dissimilar. હવે ઘેર જવાનું મન નહીં થાય. હાહાહાહાહાહા ! ! !

ઑક્સિટોસિન મન ઉપર “do not disturb” લખેલું પાટિયું સમજો. બે પ્રેમીઓ એકબીજાની આંખોમાં જોઈ રહ્યાં હોય ત્યારે બંનેના બ્રેનમાં ઑક્સિટોસિન સ્ત્રાવ થતો હોય છે. એક માતા એના બાળકને ધવરાવતી હોય ત્યારે બંનેના બ્રેનમાં ઑક્સિટોસિન સ્ત્રાવ થતો હોય છે.

ભૂખ લગે તો ખાના ખાઓ ડર લગે તો ગાના ગાઓ-૧

 imagesCANE1PHGભૂખ લગે તો ખાના ખાઓ ડર લગે તો ગાના ગાઓ-૧

ખાવાની ઇચ્છા ઘણીવાર કાબૂ બહાર જતી રહેતી હોય છે. વજન વધી ગયું હોય, કોલેસ્ટેરોલ વધી ગયું હોય, શુગર વધી જતી હોય છતાં ખાવાની ઇચ્છા કાબૂમાં રહેતી નથી. એનાં ઘણાં કારણો હોઈ શકે. સ્ત્રીઓને ગળ્યું ખાવાની ઇચ્છા પુરુષો કરતાં ઍવરિજ વધુ થતી હોય છે. સ્ત્રીઓમાં મેન્સ્ટ્રુઅલ સાઇકલ વખતે હોર્મોનલ બૅલન્સ ખોરવાઈ જતું હોય છે. એની અસર ઍપિટાઇટ અને ઇટિંગ બિહેવ્યર ઉપર પડતી હોય છે. ઑવ્યુલેશન અને પિરિઅડ પ્રથમ દિવસ વચ્ચે સ્ત્રીઓને વધારે એનર્જી ની જરૂર પડતી હોય છે. તેવા સમયે ગળ્યું ખાવાની તીવ્ર ઇચ્છા થતી હોય છે એનું કારણ એ કે શર્કરા સીધી લોહીમાં ભળીને એનર્જી આપતી હોય છે. આવા સમયે ઘણી સ્ત્રીઓને કઠોળ ખાવાની ઇચ્છા પણ જાગતી હોય છે. કારણ છે તે સમયે લીન પ્રોટીન પણ વધુ જોઈએ. ટૂંકમાં આ બધું સભાનપણે થાય નહીં અને શરીરને ચોક્કસ શું જોઇએ છે તે સમજ પડે નહીં પણ વધુ ખાવાની ઇચ્છા થાય તે સ્વાભાવિક છે.

એક બીજુ કારણ એ પણ છે કે ઑવ્યુલેશન પછી “feel good” hormone (serotonin) લેવલ ઓછું થઈ જતું હોય છે જે સ્ત્રીઓમાં ડિપ્રેશન લાવતું હોય છે. તેવા સમયે કાર્બોહાઇડ્રેટ ખાવા મતલબ ગળ્યું ખાવું સિરોટોનિન લેવલ વધારતું હોય છે. પહેલા સ્ત્રીઓ લાપસી, શીરો, સુખડી ખાવામાં રસ વધુ ધરાવતી તો આજની આધુનિક  યુવતીઓ ચોકલેટ આઇસક્રીમ ખાવામાં વધુ રસ ધરાવતી હોય છે. આમ વધુ ખાવાની ઇચ્છા તે ડિપ્રેશન દૂર કરવાની દવા છે જે શરીર જાતે જ કરતું હોય છે. મતલબ સિરોટોનિન લેવલ વધારવા અને એક્સ્ટ્રા એનર્જી મેળવવા ખાવાની ઇચ્છા વધી જતી હોય છે અને ખાસ તો ગળ્યું ખાવાની. છે ને ઇન્ટરેસ્ટિંગ?

હૉર્મોનની વાત કરીએ છે તો સ્ટ્રેસ હૉર્મોન cortisol ને ભૂલાય નહીં. જ્યારે આપણે સ્ટ્રેસ અનુભવીએ ત્યારે cortisol પેદા થતું હોય છે. કોઈ જોખમ ઊભું થવાની સંભાવના ઊભી થાય ત્યારે બ્રેન Cortisol and adrenaline સ્ત્રાવ કરતું હોય છે જે લોહીમાં ભળીને આવનારા જોખમ સામે લડવા તૈયાર કરી દે. આપણા હાથ અને પગ તરફ લોહી ધસી જતું હોય છે જેથી આપણે લડી શકીએ અથવા ભાગી શકીએ. દા.ત. રાતનો સમય હોય ને કોઈ ભયાનક ચહેરાવાળો માનવી આગળ આવી જાય તો આપણે જોખમ અનુભવીએ ત્યારે  Cortisol and adrenaline તમને લડવાની કે ભાગવાની ઍકસ્ટ્રા શક્તિ આપે.

પણ અહીં એક પ્રૉબ્લેમ છે, ભયાનક ચહેરો ધરાવતો માનવી આગળ આવી જાય અને તમે મહત્વની મિટિંગ છે અને ઑફિસ જવામાં લેટ પડ્યા હોવ તે બે વચ્ચેનો તફાવત શરીર સમજતું નથી. A stressor is a stressor. ઑફિસ જવામાં લેટ પડો ત્યારે પણ સ્ટ્રેસ પેદા થવાનો અને Cortisol and adrenaline સ્ત્રાવ બ્રેન કરવાનું જ છે. અહિ તો તમે લડી પણ ના શકો અને ભાગી પણ ના શકો. આ હૉર્મોન્સ અનહૅપી કેમિકલ તરીકે ભલે ઓળખીએ પણ છે તો કામના. પ્રૉબ્લેમ એ થાય કે આના કારણે ભાગવા અથવા લડવા વધારાની તાકાત જોઈએ તે માટે શરીરને લાગે એક્સ્ટ્રા કેલરીની જરૂર છે તો પછી શું કરવાનું, ખાઓ વધારે. આજે અકુદરતી લાઈફસ્ટાઈલ જીવતો માનવી સતત સ્ટ્રેસમાં જ રહેતો હોય છે. ખોરાકની તીવ્ર ભૂખ અને ઇમોશનલ ઇટિંગ્ એ મોટી સમસ્યા છે.

તો શું કરીશું? એક તો નક્કી કરીએ કે સ્ટ્રેસ ભોગવવો નથી. નથી ભોગવવો તો શોચો ઑફિસે લેટ પડાશે તો કોઈ મારી નાખવાનું છે? ના તો પછી એના માટે શક્ય વધુમાં વધુ શુ કરી શકાય? ઑફિસમાં એક ફોન કરી લેવાય કે આજે જરા મોડું થયું છે. આ તો દાખલો આપું છું રોજ ઑફિસે મોડા જતા નહીં. બૉસ કાઢી મૂકશે. બૉસને ફોન કરી બે ઊંડા શ્વાસ લો. બીજો દાખલો આપું કોઈ પાર્ટી કે લગ્નમાં જવાનું હોય કે ફિલમ જોવા જવાનું હોય ત્યારે આપણે તૈયાર થઈને બહાર ઊભા રાહ જોતા હોઈએ પણ શ્રીમતી અંદર શું કરતાં હોય સમજ પડે નહી. ત્યારે સ્ટ્રેસ ઊભો થઈ જતો હોય છે. પાર્ટી પતી જાય પછી પહોચવાનું છે? કન્યાવિદાય થઈ જશે પછી પહોંચવાના, ફિલમ અડધી પતી જવાની એમ બુમો પાડતા હોઈએ છીએ. મને પોતાને આવો સ્ટ્રેસ થતો હોય છે. હાહાહાહાહાહા . આનો કોઈ ઉપાય નથી. જે વસ્તુ આપણાં હાથમાં ના હોય તેની ફિકર છોડી દેવી સારી..

Tattoo સ્ત્રીઓ માટે અવિશ્વસનિયતાનું પ્રતીક

 imagesCA3Q1221Tattoo સ્ત્રીઓ માટે અવિશ્વસનિયતાનું પ્રતીક

ટૂંકી મુદત માટે હોય કે જીવનભરનો સાથ નિભાવવાનો હોય પુરુષને સુંદર સ્ત્રીનો સહવાસ ગમતો હોય છે. પુરુષ  સ્ત્રીઓની સરખામણીએ સુંદરતા પ્રત્યે વધુ સભાન હોય છે. પતલી કમર(low waist-to-hip ratio), પુષ્ટ સ્તનભાર(larger breasts), સૌન્દર્યપ્રસાધનનો વ્યાપક ઉપયોગ, આકર્ષક પરિધાન(ખાસ લાલ રંગના) જેવા સ્ત્રીઓનાં શારીરિક સંકેત બાબતે પુરુષો વધુ સંવેદનશીલ હોય છે. મતલબ પોતાના સૌન્દર્યને નિખારતી સ્ત્રીઓ પ્રત્યે પુરુષ વધુ સભાન બની જતો હોય છે. પણ સાઇકૉલાજિસ્ટ Nicolas Guéguen કહે છે આ પ્રકારની પુરુષોની સંવેદના સ્ત્રીઓ વિષે વધુ પડતી ધારણા બાંધી લેતા હોય છે. મતલબ પોતાના સૌંદર્ય વિષે વધુ પડતી સભાન સ્ત્રીઓ વધુ કામુક હોય છે તેવી ખોટી ધારણા પુરુષો બાંધી લેતા જોવા મળતા હોય છે.

જુના સમયમાં કહેવાતા સારા ઘરની સ્ત્રીઓ, વહુવારુઓ, દીકરીઓ સાદગીપૂર્ણ રહેણીકરણી અપનાવતી.સાદગીમાં સૌંદર્ય જોવાની આદત પાડવામાં આવતી. કપાળની બાજુમાં કાન બાજુ વાળની લટ કાઢી હોય તો ઘરના વડીલની આંખોનાં ભવાં ચડી જતાં. લિપસ્ટિક તો વાપરવાની જ શેની હોય ? મેકઅપ તો વાત જ જવા દો. નેલપોલિશ વાપરવી, લિપસ્ટિક વડે હોઠ રંગવા, મેક-અપ કરવો, વાળની લટ કાઢવી બધું કહેવાતી સંસ્કારી ઘરની સ્ત્રીઓ કરતી નહીં. અને આવું બધું કરીને નિત્ય ફરતી સ્ત્રીઓ પ્રત્યે લોકો શંકાની નજરે જોતા. મનોમન ધારી લેતા કે આડા સંબંધ ધરાવવામાં હોશિયાર હશે, અને એવી સ્ત્રીઓને વૈશ્યા કહેતા પણ અચકાય નહીં તેવો જમાનો હતો. ધીમે ધીમે નખ રંગવાની છૂટ મળવા લાગી તે પણ મેં જોયેલું છે. છતાં હોઠ રંગવાની છૂટ બહુ મોડેથી મળેલી.

કહેવાતા સારા ઘરની સ્ત્રીઓ ત્રાજૂડાં ત્રોફાવતી નહી. પશુપાલન કરતા સમાજોમાં સ્ત્રીઓ માટે છૂંદણાં ધરાવવા સામાન્ય હતું. છૂંદણાં પ્રત્યે જુના ભારતીય સમાજોમાં કોઈ છોછ જોવા નહોતો મળતો. જો કે તે છૂંદણાં એક જ કલરના રહેતા. છૂંદણાં માટેના વિષય, લખાતા નામ, ડિઝાઇન  વગેરેમાં ભગવાન મુખ્ય રહેતા. એટલે આવા ત્રાજૂડાં ધરાવતી સ્ત્રીઓ પ્રત્યે અવિશ્વાસ રાખવાનું કે વધુ પડતી કામુક હશે તેવું ધારવાનું કોઈ કારણ નહોતું.

આધુનિક જમાનામાં પશ્ચિમના જગતમાં જાતજાતનાં છૂંદણાં છૂંદાવવાનો રિવાજ શરૂ થયો છે અને તે ઘણીવાર પાગલપનની હદ વટાવી જાય તેવો પણ જોવા મળતો હોય છે. આ વર્ષે બાસ્કેટબૉલ ફાઇનલ મેચ જીતેલી મિયામી ટીમનો ખેલાડી એન્ડર્સન જુઓ તો મોઢા સિવાય એના શરીર પર કોઈ જગ્યા બાકી નથી, અત્ર તત્ર સર્વત્ર ટટૂ, tattoos, છૂંદણાં, ત્રાજૂડાં…મને એને જોઈને હસવું આવતું હતું.

ફ્રાન્સમાં ૧૨ % સ્ત્રીઓ ટેટૂડાં ચિતરાવેલી ફરતી હોય છે. તો અમેરિકામાં વળી ૨૩ % સ્ત્રીઓ ટેટૂડાં ચિતરાવીને ફરતી હોય છે. આવી જાતજાતની મનમોહક ચિત્રાવલી શરીર ઉપર લઈને ફરતી સ્ત્રીઓ વિષે એક અભ્યાસ મુજબ પુરુષો બહુ ઊંચો ખ્યાલ ધરાવતા હોતા નથી. એક સાદો અભ્યાસ કરવામાં આવેલો એક સ્ત્રી એના ડાબા હાથે બ્લેક ડ્રેગનનું ટેટૂ ચિતરાવીને એને લોકો જુએ તેમ ફરતી હતી ત્યારે પુરુષોએ એને ઓછી ઉત્સાહી, ઓછી પ્રમાણિક, ઓછી બુદ્ધિ ધરાવતી ગણાવેલી. જ્યારે એ સ્ત્રી ટેટૂ બતાવ્યા વગર ફરતી હતી ત્યારે એના વિષે અભિપ્રાય જુદો હતો. મતલબ સ્ત્રીઓના શરીર પર શોભતા ટેટૂ પુરુષોના મનમાં નકારાત્મક પ્રતિભાવ પેદા કરતાં હોય છે.

ટેટૂ સાથે piercing ની બોલબાલા પણ વધી છે. આપણે કાન કોચાવીને બૂટીઓ પહેરીએ કે નાકમાં ચૂની પહેરીએ તે પણ piercing જ કહેવાય. પણ આપણી સંસ્કૃતિમાં એ સામાન્ય છે. ભારતમાં લગભગ તમામ સ્ત્રીઓના નાક અને કાન કોચાવેલા હોય છે. પુરુષો પણ કાન કોચાવીને કુંડલ પહેરતા હોય છે. પણ પશ્ચિમના જગતનું piercing થોડું અલગ હોય છે. આ લોકો જીભ કોચાવીને મણકા મુકાવતા હોય છે. અહીં કોઈ બંધન હોતા નથી શરીર પર મનફાવે ત્યાં ધાતુના મણકા મૂકાવો, કડીઓ લટકાવો. ડૂંટી કોચાવીને કડી લટકાવતા હોય છે. અરે ! યોનિ પ્રદેશ ઉપર પણ  piercing કરીને કડીઓ અને મણકા બેસાડેલા હોય છે. ઘણીવાર જોતા ત્રાસ ઊપજે તેવું piercing જોવા મળતું હોય છે. મનોવૈજ્ઞાનિક Guéguen એક અભ્યાસમાં જણાવે છે કે ફ્રાન્સમાં ટેટૂ ચિતરાવેલી અને  piercing કરાવેલી સ્ત્રીઓ બહુ નાની ઉંમરમાં સમાગમનો આનંદ માણી ચૂકેલી જોવા મળેલી છે પણ આવી સ્ત્રીઓ સેક્સમાં કાયમ વધુ પડતી રસ લેતી હોય તેવું માનવું વધુ પડતું છે. પણ પુરુષો એવું માનતા હોય છે તે વાત જુદી છે.

ફ્રાન્સના સાઉથ વેસ્ટ એટલાન્ટિક કોસ્ટ ઉપર આવેલા એક પ્રખ્યાત બીચ ઉપર  Guéguen ભાઈ દ્વારા એક રસપ્રદ અભ્યાસ કરવામાં આવેલો. અભ્યાસમાં ભાગ લઈ રહેલી સ્ત્રીઓએ લાલ રંગના સ્વિમ-સૂટ પહેરીને બીચ ઉપર ઊંધા સૂઈ એક પુસ્તક વાંચ્યા કરવાનું હતું. અમુક સમય પૂરતું એમના નિતંબ થી થોડે ઉપર ૧૦.૫ બાય ૪.૯૫ સેન્ટિમીટર માપનું હંગામી ધોરણે ચીતરેલું બટરફ્લાય ટેટૂ દેખાય તે રીતે પડી રહેવાનું હતું. અને અમુક સમય પૂરતું પેલું હંગામી ટેટૂ દૂર કરી ઊંધા સૂતા સૂતા પુસ્તક વાંચ્યા કરવાનું હતું. ૨૦ મિટર દૂરથી આ બધા ઉપર નજર રાખવામાં આવી રહી હતી. બીચની જગ્યા એવી પસંદ કરવામાં આવેલી જ્યાં યુવાન પુરુષોની અવરજવર વધુ હોય.

આ સ્ત્રીઓને જોઈ,  ‘હેલ્લો’, ‘પહેલા અહીં કદી જોયા નથી’, હેલ્લો શું વાંચી રહ્યા છો?’ એવી પુરુષો તરફથી પૂછપરછ શરૂ થઈ ગઈ હતી. સ્ત્રીઓને સૂચના અપાયેલી જ હતી કે ‘હેલ્લો, હું મારા બોયફ્રેન્ડની રાહ જોઈ રહી છું’ તેવો જવાબ આપવાનો હતો જેથી વાતચીત આગળ વધે નહી. આ બધા અભ્યાસ માટે ચોક્કસ સમય મર્યાદા બાંધી દેવામાં આવેલી. પરિણામ એ આવ્યું કે બાંધેલી સમય મર્યાદાના ૨૩.૬૭ ટકા સમયમાં ટેટૂ સાથેની સ્ત્રીઓમાં પુરુષોએ ઉત્સુકતા બતાવેલી, જ્યારે બાંધેલી સમય મર્યાદાના ફક્ત ૧૦ ટકા સમયમાં ટેટૂ વગરની સ્ત્રીઓમાં પુરુષોએ ઉત્સુકતા બતાવેલી.

imagesCATUU31Zબીજા અભ્યાસમાં આ જ સ્ત્રીઓએ આજ રીતે લાલ બિકિની પહેરીને એમનું કમર નીચે નિતંબથી થોડું ઉપર પેલું ટેટૂ દેખાય તે રીતે અમુક ચોક્કસ સમય પડી રહેવાનું હતું અને અમુક સમય તે ટેટૂ દૂર કરીને પડી રહેવાનું હતું. અહીં થોડો ફેરફાર હતો, અભ્યાસમાં ભાગ લઈ રહેલા પુરુષોએ આ સ્ત્રીઓને જોઈ રહેલા બીજા પુરુષો પાસે જઈને નાનકડો ઈન્ટર્વ્યુ લેવાનો હતો. ‘ પેલી સ્ત્રી જોઈ ? એની સાથે ડેટ પર જવાનો ચાન્સ કેટલો ? અને ડેટ પર જવા હા પાડે તો પહેલી જ ડેટ વખતે સેક્સ કરવા દે તેવો ચાન્સ કેટલો ?’ આવા બેચાર સવાલો પૂછવાના હતા. જવાબ આપનારા પુરુષો પેલી સ્ત્રી તરફ જોતા દસેક સેકન્ડ જોઈ જવાબ આપતા.  Guéguen ભાઈને રિઝલ્ટ એ મળ્યું કે ટેટૂ ચિતરાવેલ સ્ત્રીઓ સાથે પુરુષોને ડેટ અને સેક્સની શક્યતા વધુ લાગી અને ટેટૂ વગરની સ્ત્રીઓ સાથે પુરુષોને ડેટ અને સેક્સની શક્યતા ઓછી લાગી. સ્ત્રીઓ તો એની એ જ હતી પહેલા ટેટૂ સાથે હતી, પછી ટેટૂ વગર હતી, પણ જવાબ આપનારા પુરુષો જુદા જુદા હતા.

મતલબ એ થયો કે ટેટૂ ચિતરાવેલ સ્ત્રીઓ સેક્સમાં વધુ રસ લેતી હોય તેવું માની લેવાતું હોય છે. મતલબ Guéguen stated that tattooed women are seen as more promiscuous. ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ જોઈએ તો સ્ત્રીઓ કપડાં, સૌન્દર્યપ્રસાધનો, હેર કલર અને વિવિધ હેર સ્ટાઇલ  વાપરી શક્ય વધુ પુરુષોને આકર્ષી એમાંથી હાયર ક્વૉલિટી સાથી શોધવા પ્રયત્ન કરતી હોય તેમાં ટેટૂ પણ એક સાધન તરીકે આવી જાય. તે પ્રમાણે પુરુષો શક્ય તેટલા એમના જીન ફેલાવવા પ્રયત્ન કરતા હોય છે, એમાં ટેટૂ સાથેની સ્ત્રીમાં એમને જીન ફેલાવવાનો વધુ ચાન્સ જણાતો હોઈ શકે. પણ long-term mating માટે આ સ્ત્રી પાછી અવિશ્વસનીય લાગે. મારા તો ઠીક બીજાના જીન પણ ઉછેરવા લાગે તો ?

અમેરિકામાં પણ  tattooed women પુરુષોને Promiscuous લાગતી હોય છે. long-term રિલેશનશિપ માટે Tattoos ચિતરાવેલ સ્ત્રીઓ પુરુષોની પહેલી પસંદ હોતી નથી. ઉપરનો અભ્યાસ ફ્રાન્સ જેવા મુક્ત મુક્ત મુક્ત વિચારસરણી ધરાવતા દેશમાં થયેલો છે. તો પછી ભારતમાં રહેતી યુવતીઓએ ટેટૂ ચિતરાવતા imagesCA1IWFHAપહેલાં એકવાર વિચારવું જ રહ્યું.

પિતૃત્વ માનવ સંસ્કૃતિનો પાયો

 પિતૃત્વ માનવ સંસ્કૃતિનો પાયો

th એક વૃક્ષ એના બીજને પવન દ્વારા માઇલો દૂર મોકલી આપે છે. એ ફળીભૂત થશે કે નહિ તેની એને ખબર નથી. એક મત્સ્ય અગણિત ઈંડા ઉપર પોતાના સ્પર્મ વહાવીને પાણીમાં તરતા આગળ વધી જાય છે. આ ઈંડા ફળીભૂત થશે કે નહી તેની દરકાર તેઓ કરતાં નથી.  કોઈ કોઈ જાતિમાં નરપક્ષી એના બચ્ચાને ખવડાવે છે, પણ ઊડવાનું શીખ્યા પછી બચ્ચાને ભૂલી જાય છે. સસ્તન પ્રાણીઓ  એના નાના બચ્ચાને પ્રિડેટરથી બચાવે છે, પણ પોતાની જાતને પહેલો પ્રેફરન્સ આપે છે. સિંહ સિંહણે કરેલા શિકારને છીનવી લે છે, બચ્ચાનાં મુખમાંથી ખાવાનું છીનવી લે છે. વાનરો અને એપ્સ એમના બચ્ચા સાથે રમે છે, પણ કોઈ વાર એમને મારી નાખવાનો પ્રયત્ન પણ કરતા હોય છે. ખાલી  માનવ નર એના બાળકોના રસમાં રસ લે છે, એની સાથે રમે છે, પોતાના રસ એનામાં રેડે છે. આ એક બહુ મોટું વિશાળ ઇવલૂશનરી સ્ટેપ છે. પિતા આપણને લાગણીઓ ઉપર કાબૂ રાખવાનું શીખવે છે.

        પિતૃત્વ માનવ સંસ્કૃતિનો પાયો છે. The act of fathering is the foundation of human civilization.

ઘરમાં પિતાની ગેરહાજરીથી પડતી નકારાત્મક અસરો વિષે ઘણું લખાય છે પણ પિતાની હાજરીના મહત્વ વિષે ખાસ લખાતું નથી. ઘરમાં પિતાની સક્રિય હાજરી છોકરાઓમાં થતા બિહેવ્યર પ્રૉબ્લેમ્સ ઓછા કરે છે અને છોકરીઓમાં સાઇકૉલોજિકલ પ્રૉબ્લેમ્સ ઓછા કરે છે. બાળકોમાં પેદા થતું આક્રમક વલણ પિતાની હાજરીમાં ઓછું થતું હોય છે. પિતાની નિયમિત સક્રિયતા બાળકોમાં પેદા થતા માનસિક અને બિહેવ્યર પ્રશ્નો ઓછાં કરી ચિંતનકારક વિકાસ કરતો હોય છે. મતલબ બાળક વિચારશીલ બનતું હોય છે.

કિશોરવયની છોકરીઓમાં મોટો પ્રશ્ન ડિપ્રેશન હોય છે. કિશોરવયના છોકરાઓમાં મોટો પ્રશ્ન બેદરકારી અને પ્રમાદ હોય છે, કોઈ કામ સરખું કરે નહી. પિતાની હાજરી આમાં ચોક્કસપણે ઘટાડો કરે છે. એક “good father” બાળકના વિકાસમાં ખૂબ મહત્વનો ફાળો આપે છે, પણ “good father” કોને કહેવો ? બાળકોના જીવનમાં સક્રિય ફાળો આપતા હોય તેને સારા પિતા કહેવાય.

Active involvement is often defined in terms of (a) engagement (directly interacting); (b) accessibility (being available); and (c) responsibility (providing resources). સંતાનો સાથે સંવાદિતા, સંતાનો માટે સમય અને સંતાનો માટે સંપદા ફાળવનાર પિતા ઉત્તમ પિતા કહેવાય. સંવાદિતા, સમય અને સંપદા ત્રણ ખૂબ મહત્વના છે. Abusive પિતા ક્યારેય સંતાનો માટે ફાયદાકારક હોતો નથી. actively-involved પિતા એના બાળકો માટે સારા માનવી બનવા, સારા પતિ અને સારા માતા-પિતા બનવા ઉત્તમ ઉદાહરણ પુરુ પાડે છે. અને આવા પિતા ધરાવનાર બાળકો શારીરિક, માનસિક અને સમાજિક રીતે વધુ બેટર હોય છે.

ઘણા પિતા એમના બાળકોના જીવનમાં બ્રેડવિનર તરીકે સક્રિય હોય છે. એમની પાસે બહુ સમય હોતો નથી. ૧૦-૧૨ કલાક કામ કરવું પડતું હોય છે. એમની પાસે એમના બાળકના બાળોતિયાં બદલવાનો કે સ્કૂલની પેઅરન્ટ મિટિંગ અટેંડ કરવાનો સમય હોતો નથી. પણ એ તમામ ટ્યૂશન ફી, પુસ્તકો વગેરે ખર્ચા ભોગવતા જ હોય છે. બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે, ઉચ્ચ ભવિષ્ય માટે ઓવરટાઈમ જૉબ કરીને ખર્ચો પૂરો પાડતા હોય છે.

મારા એક જુના સુપરવાઇઝર ભરુચમા કૉમર્સ ભણેલા. અહીં અમેરિકા આવ્યા પછી લાકડા વહેરવાની જૉબ ફક્ત કલાકના પાંચ ડોલર પગારે કરેલી. ત્યાર પછી એક કંપનીમાં મિકેનિકના હેલ્પર તરીકે જૉબ કરી, એમાંથી પોતે મિકૅનિક બની ગયા, છેવટે સુપરવાઇઝર પણ બન્યા. એમના દીકરાને બ્રાઉન યુનિમાં ભણાવ્યો. દીકરાએ પણ બાપની મહેનત ઉજાળી હાલ ન્યુઅરૉલજિસ્ટ બન્યો છે તે પણ યુનિ પ્રથમ આવી ને.. અમેરિકામાં તમે જે તે સ્ટેટના રહેવાસી હોવ તે મૂકીને બીજા સ્ટેટમાં સંતાનને ભણવા મૂકો તો ફી ડબલ ભરવી પડે. એમણે ડબલ ફી ભરીને દીકરા-દીકરીને ભણાવ્યા છે. પિતાના આવા બલિદાન જલદી નજરમાં આવતાં નથી

મારા પિતાશ્રી માટે એમનાં સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવાનો ધ્યેય મુખ્ય હતો. એનાં કારણે આજે એમનાં વારસદારોમાં ત્રણ પી.એચ.ડી થયેલા છે. એમણે ક્યારેય થાક લાગ્યો એવી ફરિયાદ કરેલી નહી. તેઓ વકીલ હતા અને તાલુકો વિજાપુર હોવાથી કોર્ટ વિજાપુરમાં હતી. તેઓ માણસાથી વિજાપુર બસમાં અપડાઉન કરતા. પહેલીવાર વિજાપુરથી આવીને એક સાંજે એ મારી આગળ બોલ્યા કે બેટા કોઈ દિવસ નહી અને આજે થાક લાગ્યો છે. મેં કહ્યું કાલે સવારે ડૉક્ટરને બતાવી આવીએ. પણ સવાર શું પડે, થાક લાગ્યાની પહેલીવારની વાત કર્યાના બેત્રણ કલાકમાં જ હાર્ટ અટૅક આવ્યો. માણસામાં તે સમયે કોઈ હાર્ટ સ્પેશલિસ્ટ હતો નહી. મારા ખાસ મિત્ર વિક્રમસિંહ રાણા અને મારા એક કઝન બિપિનસિંહ રાઓલ એમની જીપમાં સ્થાનિક ડૉક્ટરને ત્યાં લઈ ગયા. એમણે કહી દીધું કે વકીલસાહેબનું જમણું હ્રદય કામ કરતું નથી મોટો હાર્ટ અટૅક છે એક ડગલું પણ ચલાવતા નહી હાલ તાત્કાલીક ગાંધીનગર હૉસ્પિટલમાં દાખલ કરી દો. બિપિનસિંહ મારા પિતાશ્રીને કોઈ બાળકને ઊચકી ફરે તેમ ઊચકીને ફરેલા. ચાર દિવસ પછી ગાંધીનગરની સિવિલ હૉસ્પિટલમાં ફરી ક્યારેય થાકની ફરિયાદ કરવા રોકાયા નહી, દેહ મૂકી અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા.

માતાએ પાએલા દૂધનો વાસ્તો પિતાના મૂક પ્રેમ અને આપેલાં બલિદાન ભુલાવી દેવા પૂરતો હોય છે.

મારકણા આખલા જેવા યુવાનીમાં ખૂબ અગ્રેસિવ સ્વભાવના હોય એવા પિતાશ્રીઓ એમના દીકરા દીકરીઓ મોટા થતા નરમ પડી જતા મે જાતે જોયા છે. લગભગ પિતા બનતા જ અગ્રેસિવ જણાતા યુવાન મિત્રો થોડા નરમ પડી જતા હોય છે. નવો અભ્યાસ જણાવે છે કે બાળકો સાથે રાત્રે સૂઈ જતા પિતાના testosterone લેવલમાં થોડો ઘટાડો થતો હોય છે. પિતૃત્વ પોતે જ testosterone લેવલ ઘટાડતું જોવા મળે છે. આનું કારણ એ પણ હોઈ શકે કે હવે વંશ વારસો મળી ગયા છે, જીન ટ્રાન્સ્ફર થઈ ચૂક્યા છે હવે બીજા કોઈ પુરુષ સાથે સ્પર્ધા રહી નથી. testosterone પુરુષમાં આક્રમકતા વધારે છે તે હકીકત છે. આમ બાળકો સાથે સુવામાં અકારણ આવતી આક્રમકતા ઓછી થાય છે. જુના વખતમાં ઘણા સમાજોમાં બાળકને તેડી તેડીને આખો દીવસ ફરતા પિતા પ્રત્યે લોકો હસતા, એમાં આ testosterone વિષે તો જાણતા ના હોય પણ એની પુરુષ સહજ આક્રમકતા ઓછી થઈ જવાનો ભય જણાતો હોવો જોઈએ.

પિતાની હાજરીની અસર સંતાનોના સર્વાઇવલ રેટ ઉપર પણ પડતી હોય છે. જો કે અમેરિકા જેવા દેશોમાં એવી અસર જણાતી નથી. માતાના મરણ સાથે એનાં બાળકોનો મૃત્યુ દર વધી જતો દરેક સમાજમાં જોવા મળે છે. હંટર-ગેધરર, ખેતી અને પશુપાલન ઉપર નભતા હોય એવા બધા નહી પણ અમુક સમાજોમા પિતાના મૃત્યુ સાથે એમના બાળકોના મૃત્યુ દરમાં પણ વધારો નોંધાયો છે. Mary Shenk અને Brooke Scelza એ પિતાની હાજરીની અસરો વિશે બેંગ્લોરમાં એક અભ્યાસ કરેલો. બાળકો સાવ નાના હોય કે સગીર હોય અને પિતા મૃત્યુ પામે તો એની અસર ખૂબ પડતી જોવા મળી. એમની અભ્યાસની તક ઉપર ખાસ અસર પડતી હોય છે. પિતા બાળકોના અભ્યાસ, નોકરી કે ધંધોપાણી મેળવવામાં અને લગ્ન વગેરેના ખર્ચ કરી મદદ્કર્તા બનતા હોય છે. પિતા ના હોય કે મૃત્યુ પામ્યા હોય તો આ બધી બાબતોમાં અસર પડતી હોય છે.

આધુનિક બ્રેન સ્કેનિંગ અભ્યાસ જતાવે છે કે પોતાનું બાળક રડતું હોય ત્યારે પિતાના બ્રેનના વિવિધ  hypothalamus, hippocampus, midbrain, અને anterior cingulate વિભાગોમાં ઍક્ટિવિટિ વધી જતી હોય છે. કોઈ બીજાનું બાળક રડતું હોય ત્યારે બ્રેનના આ વિભાગોમાં હલચલ એટલી બધી વધતી નથી.

૧૪ % અનમેરિડ અમેરિકન  male-male couple પાસે બાળકો છે. દત્તક લેવાતા બાળકોમાં ૪ % બાળકો સજાતીય કપલ્સ પાસે છે. સજાતીય સંબંધ ધરાવતા પુરુષ હોય એટલે નપુંસક હોય તેવું માની લેવું નહી. મોટાભાગના ‘ગે’ પુરુષો જે બાળકો ધરાવતાં હોય છે તેઓ ‘ગે’ જાહેર થાય અને એમની પત્ની સાથે ડિવોર્સ લે તે પહેલાં નૉર્મલ સેક્સ દ્વારા બાળકો પેદા કરી ચૂક્યાં હોય છે. ‘ગે’ કપલ સરોગેટ મધર શોધી કોઈ સ્ત્રીનાં એગ(અંડ) એગડૉનર દ્વારા મેળવી પોતાના સ્પર્મ દ્વારા બાળકો મેળવતા હોય છે અને પોતાની પિતા બનવાની મહેચ્છા પૂરી કરી પિતૃત્વ છલકાવતા હોય છે. અથવા કોઈનું બાળક દત્તક લઈને પણ પિતૃત્વ દાખવતા હોય છે.

અમેરિકામાં મધર્સ ડે સફળ વ્યાપારીક ઑકેઝન બની ચૂક્યો છે. આ દિવસે અમેરિકનો ૨.૬ બિલ્યન ડૉલર્સ ફુલો પાછળ, ૧.૫ બિલ્યન ગિફ્ટ પાછળ મોટાભાગે ઝવેરાત, ૬૮ મિલ્યન ગ્રીટિંગ કાર્ડ પાછળ વાપરતાં હોય છે. સૌથી વધારે ફોન પણ આ જ દિવસે થતા હોય છે, પણ સૌથી વધારે collect calls ફાધર્સ ડે ઉપર થતા હોય છે.

માછલી થી માંડી ને મનુષ્ય સુધી કુદરતે આપેલી ફરજિયાત માતૃત્વની જવાબદારી જગતની તમામ માતાઓ નિભાવતી જ હોય છે, પણ પિતૃત્વનો આનંદ ખાલી મનુષ્યો જ માણતાં હોય છે. માનવ સમાજમાં માતાનું મહત્વ તો છે  જ પણ પિતાનું મહત્વ જરાય ઓછું નથી હોતું.

પાપા અમે તમને ફાધર્સ ડે વખતે શુભેચ્છાઓ વ્યક્ત કરીશું, પણ તમારા ખર્ચે..

ડાર્વિન સામે બોલાય નહી ? બોલાય. કેમ ના બોલાય ?

th=-ડાર્વિન સામે બોલાય નહી ? બોલાય. કેમ ના બોલાય ?

ઘણાં મિત્રોની માનસિકતા ઉત્ક્રાંતિમાં માનવા જ તૈયાર હોતી નથી. ઉત્ક્રાંતિ તો હરપળે ચાલું જ હોય છે પણ આપણને દેખાતી નથી. આપણે મહામાનવો અને ક્ષુદ્ર વાનર આપણો પૂર્વજ કઈ રીતે હોઈ શકે ? જે મનુષ્યોએ ભવ્ય ગ્રંથો તૈયાર કર્યા હોય, વેદોની રચના કરી હોય, ખગોળનું અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, શૂન્યનું સર્જન કર્યું હોય, ગણિત અને ભાષાની રચના કરી હોય સૂર્ય અને ચન્દ્રગ્રહણની સચોટ આગાહી કરી હોય એ મનુષ્ય શું વાનરનો વંશજ હોઈ શકે ? આપણાં મનમાં આવા અનેક સવાલો ઊઠતા હોય છે. એવું લાગતું હોય છે કે માનવી કોઈ સ્વર્ગ જેવા ઉપગ્રહમાંથી અહીં ભૂલો પડી ગયો હશે. એનું વિમાન બગડ્યું હશે અને કમનસીબે અહીં પૃથ્વી ઉપર રોકાઈ જવું પડ્યું હશે.

ઉત્ક્રાંતિનો પ્રોસિજર ખૂબ ધીમો હોય છે. ઘણાં મિત્રોના મનમાં અનેક સવાલો ઊઠતાં હોય છે. સવાલો ઊઠવા જ જોઈએ એનાં વગર જ્ઞાન આગળ કઈ રીતે વધે ? વાનરમાંથી ઉક્રાંતિ થઈ માનવ બન્યો એટલે દર વખતે જરૂરી ના હોય કે દરેક માનવ વાનરમાંથી પેદા થાય. આપણે એવું વિચારીએ કે હવે વાનર રહેવા જ ના જોઈએ બધા માનવ બની જાય તેવું પણ ના બને. કરોડો અબજો વર્ષે ધીમે ધીમે જીવો વિકસતા હોય છે. પુંછડીવાળા વાનરોમાંથી કશું બન્યું હશે કોઈ જિનેટિક ફેરફાર મ્યુટેશન થયું હશે કે એક વાનર પ્રજાતિમાંથી જરા જુદી જાતનો પૂંછડી વગરનો વાનર પેદા થયો હશે, એટલે જરૂરી નથી કે દરેક વખતે અને દરેક વાનર પેટાજાતિમાંથી પૂંછડી વગરના વાનરો પેદા થવા જ જોઈએ.

એક સાદો દાખલો આપુ તો સમજવામાં સરળ રહેશે. જૂનાગઢના નવાબના અંગત બગીચામાં ‘જમાદાર’ નામની કેરીનો એક આંબો હતો. એકવાર એની એક ડાળી ઉપર જરા જુદી જાતની કેરી બેઠી હતી. નવાબે એ ડાળ ઉપરની તમામ કેરીઓ જુદી તારવવાનો હુકમ આપ્યો. કેરી બહુ સરસ મીઠી હતી, એની સોડમ પણ અલગ જ હતી. કોઈ કુદરતી મ્યુટેશન થયું હોવું જોઈએ. એ કેરીના ગોટલા ભેગાં કરી ફરી વાવીને એની જાત ફેલાવવામાં આવી તે આજની જગમશહૂર ‘કેસર’ કેરી. હવે દર વખતે ‘જમાદાર’ કેરીમાંથી જ કેસર પેદા કરવી થોડી પડે ? અને જમાદાર કેરી તો રહી જ અને કેસર નવી બની. વાનર તો રહ્યો જ અને એમાંથી માનવ મળ્યો. હવે જરૂરી નથી કે જમાદાર કેરીના તમામ ગુણ કેસરમાં જોઈએ જ. વાનર ચાર માળ પલકમાં ચડી જાય, ઝાડ ઉપર કુદકા મારે તો માનવે જરૂરી નથી વાનરવેડા કરવા જ પડે, કરતા હોય છે તે વાત જુદી છે.

thCAEH5X03માનવ એવરેસ્ટ ચડે છે વાનરો નથી ચડતા. કૂતરાં કરતાં ચિમ્પૅન્ઝી પાસે ત્રણ ગણું મોટું બ્રેન છે અને ચિમ્પૅન્ઝી કરતાં માનવ પાસે ત્રણ ગણું મોટું બ્રેન છે. માનવ પ્લેન શોધે છે વાનરો નહી ભલે એક અગાસી ઉપરથી બીજી અગાસી પર હવાઈપ્રવાસ કરતાં કૂદી જતાં હોય. હવે આપણે અગાસીઓ કૂદવા જઈએ તો પ્લેન ક્યારે શોધીશું ?

એક બુદ્ધિશાળી મિત્રના મનમાં સવાલ ઊઠ્યો કે સર્પમાંથી કે હાથીમાંથી કેમ મનુષ્યો પેદા ના થયા ? એમને અહીં દેખાયું નહી કે ઉત્ક્રાંતિને કારણે સર્પ જેવાં જીવોમાંથી સસ્તન પ્રાણીઓ પેદા થયાં અને એમાંથી જ ઉત્ક્રાંતિ થઈને વાનર જેવાં બુદ્ધિશાળી પ્રાણી પેદા થયાં. સર્પ અને માનવ વચ્ચે અગણિત કડીઓ પેદા થઈ એને જ તો ઉક્રાંતિ કહેવાય. સર્પમાંથી જ માનવ પેદા થયો છે પણ સર્પ અને માનવ વચ્ચેની અસંખ્ય કડીઓ જોવાની દરકાર આપણે કરતાં નથી. સર્પમાંથી સીધો માનવી પેદા થાય તો ઉત્ક્રાંતિ ના કહેવાય. બ્રેન પણ જુઓ હજુ આપણી પાસે સર્પનું બ્રેન પણ છે અને આદિમ પ્રાણીઓનું આદિમ મૅમલ બ્રેન પણ છે. આપણે રેપ્ટાઇલ બ્રેન ઉપર મૅમલ બ્રેન એની ઉપર કૉર્ટેક્સ ધરાવીએ છીએ.

મધર નેચરની કરામત જુઓ નવી જાત પેદા કરે છે પણ જુની જાત સાથે સાથે જાળવી રાખે છે. ઉત્ક્રાંતિ વાનરમાંથી માનવ પેદા કરે પણ વાનરનો નાશ નથી કરતી. એક બાપના બે દીકરા હોય એક જરા જુદી જાતનો ખોડીલો પેદા થાય અને એક એના બાપ જેવો અદ્દલ હોય. હવે બાપ જેવા અદ્દલ દીકરાની જાત પણ કુદરત જાળવી રાખે અને પેલાં ખોડીલાંની જાત પણ આગળ વધે. હવે આ ખોડીલો આગળ જતાં વિશિષ્ટ પ્રકારનો ગણાય એવું માનવમાં સમજવું. બાપ જેવો અદ્દલ એટલે ચિમ્પૅન્ઝી ગણો.. અને ખોડીલો દીકરો માનવ સમજો. ૬-૮ મિલ્યન વર્ષ પહેલાં આ પૃથ્વી ઉપર પૂંછડી વગરના એપ્સ નો દબદબો હતો. મોટાભાગની નાશ પામી ગઈ. ફક્ત ચાર-પાંચ જ બચી છે. ગરિલા(Gorilla), ગિબન(Gibbon), ઉરાંગઉટાંગ અને ચિમ્પૅન્ઝી-બોનોબો, ચિમ્પૅન્ઝી અને બોનોબો કાકા-બાપાના ભાઈઓ જેવાં છે. પાંચમી કે છઠ્ઠી ગણો તો આપણે મહામાનવો. આપણે નસીબદાર છિયે કે આમાંની એક ગિબન આપણાં આસામના જંગલોમાં છે.

૬૦ લાખ વર્ષ જુનું એક ફોસિલ મળ્યું છે, એનો અભ્યાસ કરતાં જણાયું કે કોઈ જિનેટિક ખોડ આવતાં એ પ્રાણી બીજાં પ્રાણીઓની જેમ ચાર પગે ચાલવા અસમર્થ બન્યું તે આજના માનવીનો પૂર્વજ હતું. ઉત્ક્રાંતિએ કોઈ પ્રાણી બે પગે ચાલે તેની ભવિષ્યની યોજના રૂપે સંપૂર્ણ ચાર પગે ચાલતા વાનરો કરતાં ચિમ્પૅન્ઝી જેવાં પ્રાણીઓને નકલ વૉકિન્ગ કરતાં કરી દીધાં જ હતાં. ચિમ્પૅન્ઝી જેવાં પ્રાણીઓ આગળના બે પગ બીજાં પ્રાણીઓ જેવા નથી મૂકતા અને થોડો સમય બે પગે ઊભા થઈને પણ ચાલે છે.

૩૦ લાખ વર્ષ જુનું લુસી નામનું ફોસિલ મળ્યું છે જે અર્ધ માનવી અર્ધ વાનર છે. આ ઉત્ક્રાંતિ જ છે. પણ જે જાતો ફિટ અને ફ્લેક્સિબલ રહેતી નથી તેનો નાશ પણ થઈ જાય. એવી તો કેટલીય જાતો સંપૂર્ણ નાશ પામી જ છે. લુસી જેવી જાત આજે જોવા ના પણ મળે. મળેલા ફોસિલ આધારે વૈજ્ઞાનિકોનું માનવું છે કે જુદી જુદી જાતની ચાર જાત માનવોની આ પૃથ્વી ઉપર હતી. જે કદાચ જુદી જુદી જાતના વાનરોમાંથી ઉત્ક્રાંતિ પામી હશે. એમાંથી નિએન્ડરથલ તો ઉત્તર ગોળાર્ધના કાતિલ ઠંડા હવામાનમાં જીવવા ટેવાએલા હતાં. જર્મનીની એક ખીણમાંથી ૩૦૦ હાડપિંજર મળ્યાં છે એને નિએન્ડરથલ વેલી કહે છે. પણ હવે નિએન્ડરથલ માનવી રહ્યા નથી.

મહકાય મેમથ હાથીઓ આજે રહ્યા નથી પણ એના પૂરાવા છે જ, તેમ બકરી જેવડા હાથીઓના ફોસિલ પણ મળ્યા છે. વેંતિયા માનવીની વાર્તાઓ ખોટી નથી. ઇન્ડોનેશિયામાંથી એક બાળકનું મનાતું ફોસિલ મળ્યું જે પુખ્ત ઉંમરની સ્ત્રીનું નીકળ્યું હતું. મોટામસ ડાયનોસોર તો નાશ પામી ગયા પણ નાના ડાયનોસોર અને હાલના પક્ષીઓની વચ્ચેની કડીરૂપ પાંખો વિકસી હોય તેવાં ડાયનોસોરના ફોસિલ પણ મળ્યાં જ છે. અમુક મૂરખો ઉત્ક્રાંતિના આ જ પુરાવાઓનો ઉત્ક્રાંતિ ખોટી છે તેવું સાબિત કરવા કરતા હોય છે ત્યારે ખૂબ હસવું આવે છે.

આ વિજ્ઞાન જગતમાં તમે કોઈ થીઅરી મૂકો તો લાખ સાબિતીઓ આપવી પડતી હોય છે. આઈનસ્ટાઈન એક સમીકરણ વિજ્ઞાન જગત આગળ મૂકે તો હજારો વૈજ્ઞાનિકો એને ખોટું પાડવા ખાઈખપુચીને એની પાછળ પડી જતાં હોય છે. એકલાં હિટલરે હજાર-પંદરસો વૈજ્ઞાનિકો આઈનસ્ટાઈનને ખોટો પાડવા રોકેલા જ હતા. પણ વિજ્ઞાન જગત એ બાબતે પ્રમાણિક હોય છે. એ લોકોનું કશું વળ્યું નહી, ત્યારે આઈનસ્ટાઈન બોલ્યા હતા કે મારો સિદ્ધાંત ખોટો હોત તો એને ખોટો પાડવા એક જ વૈજ્ઞાનિક કાફી હોત.

ડાર્વિન સામે બોલાય નહી ? બોલાય. કેમ ના બોલાય ? કોઈ બોલ્યું નહી હોય તેવું માનો છો ? આ કોઈ બાવાઓનું જગત છે કે બાવાજી એ કહ્યું એટલે માની લીધું ? જા બચ્ચા સૂરજદાદા કો એક લોટા જળ ચડા દેના મેરા વચન હૈ તેરા કલ્યાણ હો જાવેગા, તાળીઓ પાડી બાવાજીના ગંદા ચરણે પડી મનમાં ખુશ થતાં ભાઈ ચાલી નીકળ્યા કે હવે તો એક લોટા ટાંકીના પાણીને બદલે આખું રાજપાટ મળી જવાનું. અરે ! મૂરખ તારા લાખો પેસિફિક અને કરોડો હિંદ મહાસાગર એક પલમાં સૂરજદાદા આગળ બાષ્પ બની જાય તેની નજીક જાય તો. ગરમ વસ્તુ ઠંડી પાડવા આપણે એના ઉપર પાણી રેડીએ છીએ, દાઝી જવાય તો એના પર પાણી રેડીએ એમ બાવાજીના મનમાં સૂર્યને એક લોટા જળમાં ઠંડા પાડી દેવાય તેવું હશે.

પ્રૉબ્લેમ એ છે કે આપણે કહેવાતા ધર્મના જગતમાં એના ઠેકેદારોના મૂર્ખામી ભર્યા ફતવાઓ સામે બોલી શકતા નથી એટલે લાગે કે વિજ્ઞાન જગતમાં ડાર્વિન કે આઈનસ્ટાઈન જેવા લોકો સામે કોઈ બોલતું નહી હોય કે બોલ્યું નહી હોય. ડાર્વિન એની થીઅરી બહાર મૂકતાં ગભરાતો હતો. ચર્ચ તો સામે ઊભું જ હતું પણ બીજા વૈજ્ઞાનિકો પણ એને ખોટી પાડવા તૈયાર ઉભા હતાં. વૈજ્ઞાનિકોના ગળા રહેંસી નાખવા ચર્ચ જાણીતું હતું એ તમને ક્યાં ખબર છે ? બાવાજી બૂટી સુંઘાડે અને લોકો માની જાય તેવું વિજ્ઞાનવિશ્વમાં હોતું નથી. આપણા જેવા બાલિશ નહી પણ નક્કર સવાલો લઈને બીજા વૈજ્ઞાનિકો ઊભા હોય છે. ડાર્વિને તૂત ચલાવ્યું હોત તો વૈજ્ઞાનિકોએ ક્યારનું ફેંકી દીધું હોત.

અરબો દ્વારા આપણું ગણિત પશ્ચિમ પહોચ્યું ત્યારે ૧૩મી સદીમાં ચર્ચે શેતાનનું કામ છે કહી બૅન કરી દીધેલું. અરબસ્તાનમાં પહેલીવાર ટેલિફોનના તારનું જોડાણ કરવામાં આવ્યું ત્યારે મુલ્લાઓએ ધર્મ વિરુદ્ધ છે કહી જોરદાર વિરોધ કરેલો. હવે પયગંબરના સમયમાં ટેલિફોન હતા પણ નહી કે એની વિરુદ્ધ કશું લખ્યું હોય. સુલતાન ઇબ્ન સઉદને સરસ મજાની યુક્તિ સૂઝી. તેમણે ટેલિફોન પર કુરાનના પાઠનું વાંચન ચાલુ કરાવ્યું અને એક જાહેરસભા બોલાવીને પ્રચાર કર્યો કે જે વ્યવસ્થા કુરાનનો પાક સંદેશો લોકો સુધી પહોંચાડતી હોય તે ધર્મ વિરુદ્ધ ગણી શકાય નહી.

પ્રાચીન હિંદુ મનીષીઓ પાસે ઉત્ક્રાંતિની સમજ હતી. એમણે પ્રતીક રૂપે જે અવતારોની કલ્પના કરી છે તેમાં ઇવલૂશનની સમજ ભારોભાર દેખાય છે. સમુદ્રમાં જીવન શરૂ થયું છે માટે પાલનહાર પ્રતીક વિષ્ણું સમુદ્રમાં વિરાજમાન છે. પ્રથમ ભગવાન માછલી હતા તેવું ઉત્ક્રાંતિની સમજ વગર ના કહી શકો. પહેલો વ્યવસ્થિત સજીવ માછલી છે માટે મત્સ્યાવતાર છે. બીજો વ્યવસ્થિત સજીવ કાચબો લાગ્યો તો કૂર્માવતાર ગણ્યો. ડાયનોસોર જોયા નહી કારણ કરોડો વર્ષો પહેલાં નાશ પામી ગયાં હતાં બાકી એનો પણ કોઈ અવતાર જરૂર હોત. પછી સસ્તન પ્રાણી વરાહ આવ્યું, અર્ધપશું અર્ધ માનવી નૃસિંહ અવતાર થયો. એ ભારતીય બુદ્ધિશાળી મહાપુરુષોના બ્રેનમાં સિમૅન્ટિક(Semantic memory) અને પ્રોસિજરલ(Procedural memory) મેમરી કાયમ હતી માટે આવી અવતારોની કલ્પના કરનાર ભારતીય ડાર્વિનદાદા ને નમસ્કાર.

આપણને જે ઉંમરે ચડ્ડી પહેરતાં નહોતી આવડતી તે ઉંમરે આપણા પૌત્ર-પૌત્રી આઇફોન રમે છે અને કમ્પ્યૂટર ફેરવે છે તેમાં ઉત્ક્રાંતિ કેમ દેખાતી નથી ? સેન્ટિમીટર કે મિલીમિટરના હજારમાં ભાગ જેટલા ગણો, આ કમ્પ્યૂટર સાથે રમતાં બાળકોનાં બ્રેન આપણાં કરતાં જરૂર મોટા હશે.

ઉત્ક્રાંતિનો લાખો વર્ષનો અત્યંત ધીમો પ્રોસિજર આપણી ૬૦-૭૦ વર્ષની જીંદગીમાં જોવાની આશા રાખવી મૂર્ખામી છે અને તે જોવા ના મળે તો એને ખોટી કહેશો તો ઉત્ક્રાંતિ ક્યાં બંધ થઈ જવાની છે ?

સંસદ ભવનમાં આપણા આદરણીય પ્રતિનિધિઓ જે વ્યવહાર કરે છે તે જોઈને નથી લાગતું કે ખરેખર આપણે વાનરના વંશજ છિયે ? હાહાહાહાહાહા ! !

લડવૈયો જીન MAO-A

 th=લડવૈયો જીન MAO-A

ઘણા માણસો જન્મજાત આક્રમક સ્વભાવના હોય છે. હવે આક્રમક સ્વભાવના એટલે રોજ લડવા બેસતા હોય તેવું સમજવું પણ વધુ પડતું છે. આસપાસના વાતાવરણ, અને સર્વાઇવલની જરુરીયાત પ્રમાણે માનવીનો સ્વભાવ ઘડાતો હોય છે. આમ વાતાવરણ અને પરિસ્થિતિ પ્રમાણે સ્વભાવ ઘડાતો હોય છે, તે પ્રમાણે કલ્ચર ઘડાતું હોય છે, તેની અસર જિનેટિકલી માનવીના શરીર ઉપર પડતી હોય છે. પરસ્પર દેવો ભવઃ પ્રમાણે બધું અરસપરસ એકબીજા ઉપર અસર કરતું હોવાથી જેનિસની અસર સ્વભાવ ઉપર પડતી હોય અને તે પરમાણે કલ્ચર ઘડાય તેવું પણ બનતું હોય છે અને તે પ્રમાણે પાછો સ્વભાવ અને શરીર ઘડાય તેવું પણ બનતું હોય છે.

બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશરાજના ખંડિયા દેશોના લશ્કરો બ્રિટન તરફથી જર્મનો સામે લડેલા. બ્રિટનનો સૂરજ કદી આથમતો નહિ. એ ન્યાયે ઘણાબધા દેશોના લશ્કરો આમાં જોડાયેલા. યુદ્ધ પત્યા પછી જે તે સૈનિકોએ યુદ્ધમાં બહાદૂરી બતાવી હોય તેમને બ્રેવરી માટે મેડલ વહેંચાયેલા. એના પછી સર્વે થયેલો કે કોણ સૌથી વધુ મેડલ લઈ ગયું છે ? આખી દુનિયામાં સૌથી વધુ બ્રેવરી માટેના મેડલ ભારતના રાજપૂત સૈનિકો લઈ ગયેલા. વર્ણવ્યવસ્થા અને લગ્નવ્યવસ્થાના આકરાં ધારાધોરણોને લીધે લડાયક સ્વભાવ ફક્ત એક જ વર્ગ પૂરતો સીમિત રહી ગયો. અને એમાં તે વર્ગ પણ સંખ્યામાં સીમિત બની ગયો.

રૉકસ્ટાર હેનરી રોલિન્સ એના પોતાના આક્રમક સ્વભાવ માટે આખી જીંદગી ચિંતિત રહ્યો. નેશનલ જિયોગ્રાફી ટીમ સાથે મળીને એણે એક ડૉક્યુમેંટરી બનાવેલી. એમાં રસસ્પ્રદ અભ્યાસ કરવામાં આવેલો. એમાં હાર્ડ્કોર બાઇકર્સ સામેલ કરવામાં આવેલા. આ લોકો કાયમ મોટી મોટી મોટર સાઇકલ જ ફેરવતા હોય, હટ્ટાકટ્ટા દેખાવે જ આક્રમક લાગતા હોય. મિક્સ્ડ માર્શલ આર્ટ ફાઇટર્સ પણ સામેલ કરવામાં આવેલા. લોસ એન્જલસની હિંસક ગણાતી ગેંગના બે સભ્યો પણ આવરી લેવાયા હતા. ત્રણ બૌદ્ધિષ્ઠ સાધુઓ સાથે એક અમેરિકાની વિખ્યાત સીલ ટીમનો સભ્ય પણ સામેલ કરાયેલો. આ બધાના ઇન્ટરવ્યૂ સાથે એમના ગાલ અંદરથી ખોતરીને એમના જીન ચેક કરવા નમૂના લેવામાં આવેલા કે આ લોકો વૉરિઅર જીન ધરાવે છે કે નહિ ?

 Monoamine oxidase A, also known as MAO-A, is an enzyme that in humans is  encoded by the MAOA gene. Monoamine oxidase A is an isozyme of monoamine oxidase. આનું મુખ્ય કામ norepinephrine (noradrenaline), epinephrine (adrenaline), serotonin, અને dopamine જેવાં ન્યુરૉકેમિકલ્સનું રિસાઇક્લિંગ કરવાનું રહેતું હોય છે. એને હળવા કરવાનું હોય છે. આમાં ગરબડ થાય અને આ જીનનું કામકાજ ધીમું હોય તો સ્વાભાવિક પેલાં રસાયણોનું જોર વધતું રહે તો આક્રમકતા વધુ રહે. Mutation in this gene results in monoamine oxidase deficiency, or Brunner syndrome. આ જીનનું કામકાજ વધી જાય તો પેલાં ન્યુરૉકેમિકલ્સનું વધારે પડતું રિસાઇક્લિંગ થઈ જાય તો માણસ બહુ મોટું ડિપ્રેશન અનુભવતો થઈ જાય. આપઘાત કરવાનું મન થાય, અનિંદ્રા જેવું પણ થઈ જાય. Serotonin તો આપણે જાણીએ છિયે કે જ્યારે કોઈના ઉપર પ્રભુત્વ અનુભવીએ ત્યારે હેપિનેસ અર્પતું હોય છે. Adrenaline એટલે “ એક મરણિયો ૧૦૦ ને ભારે “ સમજવું. જ્યારે જીવ ઉપર આવી જઈએ, ‘જાન કા ખતરા’ ઊભો થઈ જાય ત્યારે માણસમાં ભયંકર તાકાત આવી જતી હોય છે.

એક ઘાંચી અને દરબારનું ફેમિલી જોડે જોડે રહેતાં હતાં. ઘાંચી તો સ્વાભાવિક તેલની ઘાંણીએ કામ કરતો એટલે તગડ્મસ્ત હતો, દરબાર બિચારાં સુકલકડી. ઘાંચણ કાયમ દરબારની વહુ ને ચીડવે કે જુઓ મારો ઘાંચી કેવો અલમસ્ત છે અને તમારો દરબાર જુઓ સાવ સુકલકડી. દરબારનાં વહુ દરબારને ફરિયાદ કરે પેલી ઘાંચણ આમ કહે છે. દરબાર એક જ વાક્ય કહેતા કે ઢોલ વાગવા દે, બૂંગિયો વાગવા દે ત્યારે વાત.

એકવાર ગામમાં લૂંટારા આવ્યા અને જુના જમાનાના રિવાજ પ્રમાણે ગામના લોકોને ભેગાં કરવા ઢોલ વાગ્યો, દરબારને શૂરાતન ચડ્યું adrenaline  ન્યુરૉકેમિકલનો ફ્લો વધી ગયો. પ્રચંડ તાકાત અનુભવવા લાગ્યાં, બાજુમાં પડેલી લોખંડની કૉશ ઉઠાવી પેલાં ઘાંચીના ગળામાં ભેરવીને વાળી દીધી અને તલવાર ઉઠાવી લૂંટારા સામે લડવા નીકળી પડ્યા. બધું પતી ગયા પછી ઘેર આવ્યા ઘાંચી કહે આ મારી ગળે ભેરવેલી કૉશ કાઢો બાપા મારી નાખ્યો તમે તો. દરબાર કહે હવે ના બને ફરી ઢોલ વાગે ત્યારે સામો આવી ને ઊભો રહેજે. ‘જાડા દેખકર ડરના નહી પતલા દેખકર લડના નહી’, એવું મારા ફાધર કાયમ કહેતા. Adrenaline નું કામ આવું હોય છે.

monoamine oxidase-A gene ને warrior gene કહેતાં હોય છે. હિંસક વર્તણૂક ફક્ત જીન આધારિત હોય તેવું પણ નથી. સર્વાઇવલ માટે બચપણમાં આક્રમક બનવાનું હાર્ડ વાયરિંગ બ્રેનમાં થયેલું હોય તો પણ હિંસક વર્તણૂક ઊભી થતી હોય છે. દેશની બૉર્ડર ઉપર રહેતાં લોકોને વારંવાર યુદ્ધોનો સામનો કરવો પડતો હોય ત્યારે ત્યાં વસતી પ્રજા સામાન્યતઃ લડાયક હોય છે. રૉકસ્ટાર હેનરી રોલિન્સને હવે બધાં રિઝલ્ટ મળી ગયાં હતાં. તે પોતે આક્રમક સ્વભાવ ધરાવતો હતો પણ વૉરિઅર જીન એનામાં નહોતો. બચપણમાં સ્કૂલમાં એને બીજા છોકરાઓ ખૂબ હેરાન કરતા. એને ખૂબ મારતા, એમાંથી બચવા તે ખૂબ આક્રમક બની જતો. આમ બચપણમાં તોફાની છોકરાઓથી બચવા આક્રમક બનવું જરૂરી હતું અને તે સ્ટ્રેટેજીનું હાર્ડ વાયરિંગ એના બ્રેનમાં કાયમી થઈ ગયેલું. એટલે પુખ્ત બન્યા પછી પણ એ આક્રમક વલણ દાખવતો.

હાર્ડકોર બાઇકર્સમાથી ત્રણ જણા વૉરિઅર જીન ધરાવતા નીકળ્યા અને જેણે ખૂબ હિંસાનો સામનો કરેલો તે જ વૉરિઅર જીન વગરનો નીકળ્યો. પેલાં ગૅંગ્સ્ટર તો વૉરિઅર જીન ધરાવતા જ નીકળ્યા. ત્રણે બૌદ્ધિષ્ઠ સાધુઓ વૉરિઅર જીન ધરાવતા નીકળ્યા જેઓ તદ્દન શાંત હતા. મતલબ મેડિટેશન આ લોકોને શાંત બનાવતું હતું. નેવી સીલ ટીમનો સભ્ય વૉરિઅર જીન ધરાવતો પણ એની આક્રમકતા પોઝિટિવ હતી કે તે જિમ ચલાવતો હતો. લોકોને સ્વરક્ષણ શીખવતો હતો.

વૉરિઅર જીન ધરાવતો માણસ આર્મીમાં જઈને દેશની સેવા કરી હીરો બની શકે છે અથવા ગૅંગ્સ્ટર બની દેશની કુસેવા કરી વિલન પણ બની શકે છે. th

રાત્રિનું અંતિમ કાર્ય (ધ્યાન)

100445824_288ebe0950[1] રાત્રિનું અંતિમ કાર્ય (ધ્યાન)

 એકવાર પાર્વતીએ શંકરને જગતના રહસ્ય વિશે સામટાં ચારપાંચ સવાલો પૂછી નાખ્યાં. શિવજીએ કોઈ પણ જાતની ફિલૉસફી ઝાડ્યા વગર શરૂ કર્યું કે અંદર જતા શ્વાસ પછી અને બહાર આવતાં શ્વાસ પહેલાં જે પૉઇન્ટ આવે ત્યાં સ્થિત થઈ જાવ, અથવા બે શ્વાસ વચ્ચે સ્થિત થઈ જાવ, આ તો મારી ભાષામાં કહું છું, બાકી શંકરે તો સંસ્કૃત કે પ્રાચીન સંસ્કૃતમાં કહ્યું હશે. આમ એક પછી એક રસ્તા બતાવતા જ ગયા, નો ફિલૉસફી. આવી કહેવાય છે ૧૦૮ વિધિઓ બતાવી.

અમદાવાદથી વડોદરા જવું છે તો પહેલાં અમદાવાદની બહાર તો નીકળો ? પછી નારોલ ચોકડીથી સાઉથમાં જવા માંડો. પાલડી ચારરસ્તા થી વી.એસ. હૉસ્પિટલ જવું છે ? તો તમારી સુંદર મુખમુદ્રા કંઈ દિશામાં રાખી ઊભા છો તે કહો પહેલાં. સરદાર બ્રિજ બાજુ મુખ રાખી ઊભા હોય તો ડાબી બાજુ ચાલવા માંડો અને જોધપુર ટેકરા બાજુ તમારું પવિત્ર મુખ રાખી ઊભા હોય તો જમણી બાજુ ચાલવા માંડો. આમાં ક્યાં કોઈ ગ્રીક કે ઉપનિષદની ફિલૉસફીની જરૂર છે ? ભાઈ મેં તો રસ્તો બતાવ્યો ચાલવાનું તમારે છે. ચાલવા માંડશો તો આજે નહી તો કાલે જરૂર વી.એસ. પહોંચી જવાશે પણ ઊભા ઊભા તત્ત્વજ્ઞાન ડહોળવા બેસી જઈશું તો કદી નહી પહોચાય.

પહેલી નવ વિધિઓ શ્વાસ ઉપર હતી. ભગવાન બુદ્ધે આ શ્વાસ ઉપરની વિધિઓનો ખૂબ ઉપયોગ કરેલો. અનાપાનસતિ અને વિપશ્યનાનો મુખ્ય આધાર આ વિધિઓ છે. શિવે કહેલી ધ્યાન કરવાની, મેડિટેશન કરવાની આ પદ્ધતિને કોઈ ધર્મના લેબલ મારવાની જરૂર છે નહી. આ તો શુદ્ધ બ્રેન કસરત છે. બૃફેન, કોમ્બિફ્લેમ કે વિક્સ વૅપરબ ઉપર લખેલું નથી હોતું કે આ કોઈ ક્રિસ્ચને શોધેલી દવા છે માટે કોઈ હિંદુ કે મુસલમાને ઉપયોગ કરવી નહી. હા ! એને શોધવાની મથામણ કે બનાવવાની કિંમત જરૂર વસૂલ કરવામાં આવે છે. કે સુદર્શન ચૂર્ણ ઉપર સિક્કો નથી મારેલો હોતો કે આ ચરકે શોધેલી ફૉર્મ્યુલા છે જેને કોઈ બીજા ધર્મ પાળનારે ફાકવું નહી. જ્ઞાનને ધર્મના લેબલની શું જરૂર ?

સૂફી ફકીરોનું દરવેશ નૃત્ય પણ ધ્યાન કરવાની એક પદ્ધતિ છે. તારવાળા વાદ્ય વગાડવામાં પણ મેડિટેશન છુપાયેલું છે. બૌદ્ધ સાધુઓએ માઈન્ડ્ફૂલનેસ મેડિટેશન આખી દુનિયામાં ફેલાવી દીધું છે. મૂળ આ પદ્ધતિ બતાવનારા શંકર તો ખોવાઈ ગયા બુદ્ધ ફેમસ થઈ ગયા, અરે બુદ્ધ મૂળ ભારતના હતા તેવી પણ દુનિયાના ઘણાં લોકોને ખબર નથી. જો કે શંકરને એની કશી પડી નથી કારણ શંકર માટે બુદ્ધ અને શંકરમાં કોઈ ફરક નથી. લે ! હું યે ફિલૉસફી ઠોકવા માંડ્યો ?

મૂળ વાત મારે એ કહેવી છે કે હાલ મેડિટેશન ઉપર ખૂબ સંશોધન ચાલી રહ્યું છે. ન્યુઅરૉલજિસ્ટ આની ઉપર ખૂબ સંશોધન કરી રહ્યાં છે. રોજનું ફક્ત ૧૫-૩૦ મિનિટનું ધ્યાન બહુ મોટો ફરક પાડવા સક્ષમ બની શકે છે કે તમારો જિંદગી વિશેનો આખો અપ્રોચ બદલાઈ જાય, તમારું કરુણાનું ખાબોચિયું મહાસમુદ્ર્માં પલટાઈ શકે. વસ્તુઓ કે બનાવોને અંગત રીતે મૂલવવાનો તમારો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય. પણ આ બધું કઈ રીતે બને?

ચાલો આપણાં સાઇકાયટ્રિસ્ટ અને ન્યુઅરૉલોજિસ્ટ મહાનુભવોને સાઈબાબાના ફોટા ઉપર હાર ચડાવવાનાં મહત્વનાં કામમાં મગન રહેવા દઈએ. હું મારી અલ્પમતિ સમજાવવા ટ્રાય કરૂ.

ધ્યાન કઈ રીતે બ્રેન ચેઇન્જ કરે છે તે જોવા થોડી ટેકનિકલ વાતો સમજવી પડશે. બ્રેનના થોડા વિભાગોની ઉપરછલ્લી માહિતી ચાલી જશે. આપણે ક્યાં બ્રેન સર્જરી કરવી છે?

* Lateral prefrontal cortex: બ્રેનનો આ વિભાગ વસ્તુઓ કે બનાવોને તર્કયુક્ત, રેશનલ અને બેલેન્સેડ (સંતુલિત) લેવા માટે પ્રેરતો હોય છે. આને Assessment Center પણ કહે છે. બ્રેનના ફિઅર સેન્ટર તરફથી આવતી લાગણીઓ નિયંત્રિત કરી સૌમ્ય બનાવે છે. ઑટ્મૅટિક બિહેવ્યર અને ટેવો ઉપર કાબૂ રાખવાનું કામ કરે છે. બ્રેનના Me Center નું નિયમન કરી વસ્તુ કે બનાવોને પર્સનલ લેવાનું વલણ ઓછું કરે છે.

* Medial prefrontal cortex:- આ વિભાગ તમારા અનુભવો અને યથાર્થદર્શનના સંદર્ભ સતત તમને પાછાં સૂચવવાનું કામ કરતો હોય છે. ઘણા લોકો આને બ્રેનનું “Me Center” કહેતા હોય છે કારણ તે આપણી પોતાને સંબંધિત માહિતીનું પ્રોસેસિંગ કર્યા કરતું હોય છે. ખાસ તો જ્યારે આપણે ખૂલી આંખે સપનાં જોતા હોઈએ, ભવિષ્ય માટે કોઈ યોજના બનાવીએ, સામાજિક સંબંધો વિષે વિચારીએ, કોઈ બીજાના મનમાં કોઈ બીજા વિષે શું ચાલી રહ્યું હશે તેની ધારણા બાંધીએ, ત્યારે આપણાં જુના અનુભવોની માહિતીનું મૂલ્યાંકન કરીને આપણને સંદર્ભસૂચી પુરી પાડતું હોય છે. એટલાં માટે આને Self-Referencing Center પણ કહેતાં હોય છે.

રસપ્રદ બાબત એ છે કે Medial PreFrontal Cortex (mPFC) વિભાગના પણ બે ભાગ હોય છે.

* Ventromedial medial prefrontal cortex (vmPFC) – આપણાં અને આપણી માન્યતા અનુસાર આપણાં જેવી સમકક્ષ વ્યક્તિઓ વિષેની માહિતીનું પ્રોસેસિંગ આ ભાગ કરતો હોય છે. કોઈપણ બાબતને વધુ પડતું અંગત લઈ લેવાનું વલણ અહીં રચાતું હોય છે. એટલે વૈજ્ઞાનિકો આને  unhelpful aspect of the Self-Referencing Center કહેતા હોય છે. આમ તો આ વિભાગના કામ મહત્વનાં હોય છે. પણ વધુ પડતી ઊંડી વિચારણા કરાવી આ વિભાગ અસ્વસ્થ બનાવી ખિન્નતા અને માનસિક ઉદાસીનતા વધારતો હોવાથી એને અનહેલ્પફુલ કહેવામાં આવે છે.

* Dorsomedial Prefrontal Cortex (dmPFC) – આ વિભાગ આપણી માન્યતા મુજબ આપણાં સરીખાં ના હોય તેવી વ્યક્તિઓ વિષે માહિતીનું પ્રોસેસિંગ કરતો હોય છે. આ વિભાગ ખૂબ મહત્વનો છે. આપણે માનતા હોઈએ કે આ વ્યક્તિઓ આપણાં જેવી સિમિલર નથી તેમના પ્રત્યે સહભાવ, સહાનુભૂતિ અને તાદાત્મ્યની લાગણી સાથે આ વિભાગ સામેલ થતો હોય છે, અને એવા લોકો સાથે સમાજિક જોડાણ વધારવામાં ચાવીરૂપ બનતો હોય છે.

* Insula: બ્રેનનો આ ભાગ bodily sensations મૉનિટર કરવાનું કામ કરતો હોય છે. શારીરિક સંવેદનાઓ પ્રત્યે તમે કેવો પ્રતિભાવ આપો છો તે વિશે દિશા સૂચન કરે છે. કે સંવેદના સંકટ સૂચક છે કે હિતકારક ? હિંમત ટકી રહેવાની શક્તિ અને સહજ પ્રેરણા માટે પણ આ વિભાગ સંલગ્ન હોય છે.

* Amygdala: ‘ખતરે કી ઘંટી’, સંકટ સમયે અલાર્મ વગાડવાનું કામ આ વિભાગ કરતો હોય છે. માટે આને “Fear Center” પણ કહેતા હોય છે. જોખમ સમયે “fight-or-flight” response આપવાનું મહત્વનું કામ આ વિભાગનું છે.

ધ્યાન કરતાં ના હોય ત્યારે બની શકે કે Me Center સાથે Insula અને ફિઅર સેન્ટરનું ન્યુઅરલ જોડાણ વધુ મજબૂત હોય. મતલબ તમે ચિંતાતુર બનો કે ભયની લાગણી અનુભવો કે શારીરિક સંવેદના જેવી કે ઝણઝણાટ, ખંજવાળ કે પેએન અનુભવો ત્યારે તમે ધારી લેવાના કે પ્રૉબ્લેમ તમારા સાથે કે તમારી સલામતી સાથે છે. આવું સચોટપણે લાગે કારણ મી-સેન્ટર ઢગલાબંધ માહિતીનું પ્રોસેસિંગ કરતું હોય છે. આપણે એકના એક વિચારોમાં સ્ટક થઈ જતાં હોઈએ છીએ. આપણે કોઈ ભૂલ કરી. લોકો શું વિચારશે? માથું દુખ્યું, કેમ દુખ્યું, પહેલાં પણ દુખેલું, કશું સીરિઅસ તો નહી હોય ને? એકમાંથી બીજા અને ત્રીજા એમ વિચારોનું ચક્કર ચાલતું જવાનું. બ્રેનનાં Assessment Center’s અને Me Center વચ્ચેનું નબળું કનેક્શન વ્યર્થ અતિશય ચિંતાતુર બનાવી રાખવા કારણભૂત બનતું હોય છે. જો અસેસ્મન્ટ સેન્ટર એની ઊંચી ક્ષમતા મુજબ કામ કરતું હોય તો બ્રેનના vmPFC (the part that takes things personally) વિભાગની વધારે પડતી કામગીરી સારી રીતે નિયંત્રિત કરે છે અને બ્રેનના dmPFC (the part involved in understanding other’s thoughts and feelings) વિભાગની કામગીરીમાં વધારો કરે છે. પરિણામ સ્વરૂપ મી-સેન્ટર જે ભૂલભરેલી માહિતી તરફ વધુ ધ્યાન આપતું હોય છે તે કોરે મૂકી સમતોલ રીતે વિચારવાનું વધુ બનવા લાગે છે. મતલબ ઓવર-થિંકિંગ અને એકની એક વાત વાગોળવાની ક્રિયા ઓછી થવા લાગે છે જે કરવા માટે મી-સેન્ટર વધુ પ્રખ્યાત હોય છે.

ધ્યાન કરવાનું નિયમિત શરૂ થાય એટલે ઘણી બધી હકારાત્મક બાબતો બનવા લાગતી હોય છે. પહેલું તો મી-સેન્ટરના unhelpful vmPFC વિભાગ અને bodily sensation/fear centers વચ્ચેના મજબૂત જોડાણ તૂટવા લાગે છે. એટલે શારીરિક સંવેદનાઓ અને ક્ષણિક ભય વખતે આપણી સાથે બહુ મોટો પ્રૉબ્લેમ ઊભો થઈ ગયો છે તેવું માનવાનું ઓછું થતું જતું હોય છે. જેમ જેમ મેડિટેશન કરતાં જાવ તેમ તેમ અસ્વસ્થતા(ઍંગ્ઝાયટિ) ઓછી થવા લાગે તેનું કારણ તમને અસ્વસ્થ કરી મૂકતી મી-સેન્ટરની સંવેદનાઓ સાથે જોડાયેલા ન્યુઅરલ રસ્તા ઓછા થતા જતા હોય છે. આપણે કારણ વગરની સંવેદનાઓની ઉપેક્ષા કરવાનું શીખી જતા હોઈએ છીએ. અથવા એવું પણ કહી શકાય કે ખરેખર જેના માટે સંવેદના જાગે છે તે ઓળખી શકાય છે અને એનો વધુ પડતો પ્રતિસાદ આપવાનું ઓછું થતું જાય છે. મતલબ સંવેદનાની સાચી ઓળખ છતી થાય છે.

બીજું  Assessment Center અને bodily sensation/fear centers વચ્ચે તંદુરસ્ત જોડાણ વધતું જાય છે. એટલે જ્યારે તમને કોઈ શારીરિક પીડા કે સંવેદના થાય કે કોઈ સંકટ  ઉભુ થાય ત્યારે તમે ઑટ્મૅટિકલી રિએક્ટ કરવાને બદલે તમે એને વધુ રેશનલ લેવા ટેવાતા જાવ છો. ટૂંકમાં તમે બધી રીતે સમતોલ વિચારતા થતા બનતા જાવ છો. મેડિટેશન કરતા બોનસમાં મી-સેન્ટરના હેલ્પફુલ વિભાગ (dorsomedial prefrontal cortex – the part involved in processing information related to people we perceive as being not like us ) અને bodily sensation center – involved in empathy વચ્ચે મજબૂત જોડાણ વધતું જાય છે. તમે બીજા લોકોની ઇચ્છાઓ, સપનાં અને વિચારો વધુ સમજતા થઈ જતા હોય છો. આમ ધ્યાન તમને વધુ ને વધુ કરુણાવાન બનાવતું જાય છે. ટૂંકમાં તમે તમામ લોકો પ્રત્યે દયાળુ અને કરુણાવાન બની શકતા હોય છો. હવે બુદ્ધ અને મહાવીરની માનસિકતા સમજવી વધુ સરળ લાગશે કે કેમ આ લોકો દુનિયાના તમામ લોકો પ્રત્યે કરુણા ધરવતા હતાં.

આમ ધ્યાન બ્રેનના અસેસ્મન્ટ સેન્ટરને મજબૂત બનાવે છે. મી-સેન્ટરના અનહેલ્પફુલ ભાગ જે વસ્તુઓને અંગત લેવા ટેવાએલ છે તેને નબળું બનાવે છે, મી-સેન્ટરના હેલ્પફુલ ભાગ જે સહાનુભૂતિ સાથે સંકળાએલ છે તેને મજબૂત બનાવે છે, શારીરિક સંવેદનાઓ અને ભય-ડર-દહેશત વગેરેને સાચી રીતે મૂલવવાનું શીખવે છે. “સંકટ સત્ય છે પણ એમાં ભયભીત થઈ જવું તમારી પસંદગી છે.”

ધ્યાન આપણને આપણી બાજુબાજુના તમામ લોકોને સ્વચ્છ અભિગમ વડે જોતાં શીખવે છે. ધીમે ધીમે આપણે શાંત અને શાંત થતા જતા હોઈએ છીએ..

પણ બ્રેનને જુના રસ્તે પાછાં જવાનું સરળ લાગતું હોય છે. સર્વાઇવલના જુના બનાવેલા ન્યુઅરલ રસ્તા વધુ અનુકૂળ લાગતા હોય છે. માટે ધ્યાન રોજ કરવું જોઈએ. ૧૫ મિનિટ તો ૧૫ મિનિટ પણ રોજ કરવું જોઈએ જેથી નવા ન્યુઅરલ રસ્તા એકદમ મજબૂત બની જાય, નવાં ન્યુઅરલ જોડાણ મજબૂત બની જાય. માટે બુદ્ધ રાતની સભા પૂરી કરીને આદેશ આપતા રાત્રિનું અંતિમ કાર્ય પૂરુ કરી સૂઈ જાવ. એ અંતિમ કાર્ય ધ્યાન કરવાનું રહેતું. સાધુઓ અને સમજદારો ધ્યાન કરવા જતા પણ સમાન્યજન સંભોગમાં રત થઈ જાય અને ચોર ચોરી કરવા જાય એમાં બુદ્ધનો શું વાંક ?

ક્ષુધાતુરદરિદ્રાણામ્ પ્રિયા: પીનપયોધરા:

ક્ષુધાતુર, દરિદ્રાણામ્ પ્રિયહ્ પીનપયોધરા124650-123409

એમાં કોઈ નવાઈ નથી કે ઘણાં પુરુષોને પુષ્ટ ભરાવદાર(buxom) સ્ત્રી ગમતી હોય છે જ્યારે અમુક પુરુષોની પહેલી પસંદ પાતળી પરમાર હોય છે. પાતળી પરમાર માટે હાલ ઝીરો ફિગર શબ્દ વપરાય છે. એક બહુ જુનું લોકગીત છે. ”માડી હું તો બાર બાર વરસે આવીયો, ક્યાં ગઈ મારી પાતળી પરમાર ?” બહુ ઇમોશનલ ગીત છે. પિયરના ગામની દિશા બાજુ ખાટલામાં ઓશિકુ ના મૂકવા દે તેવી સાસુના જમાનાનું ગીત છે. ખેર બહુ જૂનો સવાલ છે કે અમુક પુરુષોને હુષ્ટ્પુષ્ટ મોટાં ભરાવદાર ઉરજ ધરાવતી સ્ત્રીઓ ગમતી હોય છે જ્યારે અમુકને પાતળી માપસરનાં ઉરજ ધરાવતી સ્ત્રીઓ ગમતી હોય છે. જોકે આવી પસંદ નાપસંદીમાં અનેક કારણો અને પરિબળો ભાગ ભજવતાં હોય છે છતાં તાજેતરમાં થયેલાં બે અભ્યાસ  આના ઉપર સારો એવો પ્રકાશ પાડે છે.

એવા કયાં પરિબળ પુરુષને આવી મનોવૃત્તિ ધરાવવા માટે ખેંચતાં હશે? માનવ સ્ત્રી માટે સ્તનનું માપ ચરબી સંગ્રહ સૂચક(signal of fat reserves) ગણાતું હોય છે. પુરુષો માટે “resource security” અને “resource insecurity” ની ભાવના નાનાં-મોટાં સ્તન ગમવા માટે ભાગ ભજવતી હશે ખરી ? મતલબ જે લોકો સંપત્તિવાન છે અથવા ઓછી સંપદા ધરાવે છે તેનો આ પસંદગી બાબતે પ્રભાવ પડે ખરો ? Viren Swami અને Martin Tovée નામના બે મનોવૈજ્ઞાનિકોએ આના ઉપર રસપ્રદ અભ્યાસ કર્યો છે.

પહેલાં અભ્યાસમાં ફાઈનૅન્શલ સિક્યુરિટી સ્તન સાઇઝ પસંદગી બાબતે સંબંધ ધરાવે કે નહી તે ચકાસવામાં આવેલું. આર્થિક રીતે ગરીબ, મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકોને આમાં સામેલ કરવામાં આવેલાં. ભાગ લેનારાઓને પાંચ જુદી જુદી સાઇઝ્નાં સ્તન ધરાવતી સ્ત્રીઓના ફોટા બતાવી કંઈ સ્ત્રી આકર્ષક લાગે છે તે જણાવી ક્રમાંક આપવાનો હતો. બહુ સાદો પ્રયોગ હતો. આર્થિક રીતે નિમ્ન સ્તર ધરાવનારાઓએ મોટાં સ્તનને પહેલો ક્રમાંક આપ્યો હતો. સાદું તારણ એવું નીકળ્યું કે ગરીબ લોકોને મોટાં સ્તન ગમતાં હોય છે.

બીજા પ્રયોગમાં “food security” ધ્યાનમાં લેવામાં આવી હતી. આમાં ફક્ત શ્વેત બ્રિટીશ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવેલા, કારણ ethnicity પણ બહુ મોટો ભાગ સ્તન સાઇઝ પસંદ બાબતે ભાગ ભજવતી હોય છે. આફ્રિકન પ્રજાને નાના સ્તન ક્યારેય ગમે નહી. ભાગ લેનારા અમુક ભૂખ્યા હતાં અને અમુક ભૂખ વગરના તૃપ્ત હતા. પ્રયોગાત્મક અભ્યાસનો સમય પણ સાંજનો ૬ થી ૭ રાખેલો કે ત્યારે ભૂખ પણ બરોબર લાગી હોય. સ્ત્રીઓના ફોટા પણ પહેલા અભ્યાસમાં રાખેલા તે જ રાખેલાં. સાદું તારણ એ નીકળ્યું કે ભૂખ્યાજનો એ ભૂખ વગરના તૃપ્ત લોકોની સરખામણીએ મોટાં સ્તન પસંદ કરેલાં.

ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ જોઈએ તો મોટાં સ્તન તાજાં જન્મેલાં બાળક માટે વિપુલ ખોરાકની સંભાવના ધરાવતાં હોય છે. મોટાં સ્તન ફલદ્રુપતા સાથે સંબંધ ધરાવતાં estradiol હૉર્મોન લેવલ સૂચક પણ છે. Christopher Burris અને  Armand Munteanu નામના સંશોધકો માને છે કે જે પુરુષોને પિતા બનવાની ખાસ ઇચ્છા ના હોય તેને મોટાં સ્તન ખાસ અપીલિંગ લાગતાં નથી. આ હાઇપૉથિસિસ ચકાસવા કેટલાક કૉલિજ યુવાનો સાથે ઑન-લાઇન અભ્યાસ કરવામાં આવેલો. પહેલાં એમની પિતા બનવાની ઇચ્છા ક્રમાંક આપીને ચકાસી લેવાઈ હતી. પછી એમને સ્ત્રીઓના ચિત્રો આપવામાં આવેલાં જેની સ્તન સાઇઝ ઇચ્છા મુજબ ફેરવી શકતા હતાં. સાદું તારણ એવું નીકળ્યું કે જેઓ બાળકોથી મુક્ત રહેવા ઇચ્છતાં હતા તેઓએ નાનાં સ્તન પસંદ કરેલાં.

સ્તન સાઇઝ પસંદગી બાબતે કોઈ ચોક્કસ ધારણા બાંધી લેવી જરૂરી નથી. અનેક પરિબળ આમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ભાગ ભજવતાં હોઈ શકે. કોઈને વિધ્યા બાલન ગમે કોઈને દીપિકા પડુકોણ. દક્ષિણ ભારતની ફિલ્મોમાં દૂબળી અભિનેત્રી ચાલતી નહી. Ethnicity પણ બહુ મોટો ભાગ ભજવતી હોય છે. ઍવરિજ દક્ષિણ ભારતીયને ભૂખ્યો હોય, તૃપ્ત હોય, દરિદ્ર હોય કે ધનવાન મોટાં સ્તન જ ગમવાનાં તે હકીકત છે. છતાં ઉપરના પ્રયોગો અને તેનાં તારણ કેવો ઉરજવૈભવ પસંદ છે તે બાબતે આપણાં મનના ઊંડા અતલમાં જરૂર થોડો પ્રકાશ તો ફેંકે જ છે તે પણ હકીકત છે.

સ્તન આકર્ષણ મહા કર્ષણ

કુચાકર્ષણ મહા કર્ષણ

એક તાજું જન્મેલું બાળક રડે છે કે તે દૂધ શું છે જાણતું નથી. તે રડે છે કારણ લો બ્લડ શુગરનાં કારણે બ્રેન ઇમર્જન્સી અલર્ટ સિગ્નલ cortisol રિલીસ કરે છે. સારા નસીબે રુદન કામ કરી20130513-123131.jpg જતું હોય છે. મદદ આવી મળે છે. માતા આવી જાય છે બાળકને દૂધ પીવા મળી જાય છે, ખોરાક મળી જાય છે. બાળક રાહત અનુભવે છે. સારું અનુભવે છે. સુખનો આવિર્ભાવ થાય છે. બ્રેન અહીં શીખવાનું શરુ કરે છે. આમ એક બાળકનો પૃથ્વી પર અવતરણ થવાની સાથે સર્વાઇવલનો પહેલો અનુભવ એની માતાના સ્તન સાથેની ઓળખ સાથે થતો હોય છે. આમ ઉરજની ઓળખ પહેલી ઓળખ કાયમ ઉરમાં જડાઈ જાય છે. આખી જિંદગી એનું આકર્ષણ મહા કર્ષણ તરીકે દિલોદિમાગ પર છવાઈ જતું હોય છે. પીનપયોધર હાઈ estrogen લેવલ દર્શાવે છે જે ઉચ્ચ ફળદ્રુપતા સાથે જોડાયેલ છે. પીનપયોધરા કોને ના ગમે?

સ્વ. રાજકપૂર ‘રામ તેરી ગંગા મૈલી’ ચિત્રપટમાં અભિનેત્રી મંદાકિનીનાં ઉરમંડન સાથે એના કુચાગ્ર બહુ કલાત્મક રીતે દર્શાવવામાં સફળ થયેલા. એમની ફિલ્મોની તમામ અભિનેત્રીઓ જબરજસ્ત સ્તનવૈભવ ધરાવતી અને તે કલાત્મક રીતે જતાવવામાં રાજકપૂર જબરા નિષ્ણાત હતા. ઉંમર નિદર્શન, ફલદ્રુપતાની નિશાની, માતાની યાદ સાથે એના દ્વારા પોષણ મળતું બધી ભેગું થઈને સ્તન કાયમ માટે દિમાગમાં જડાયેલા રહેતા હોય છે.

આદિવાસી સમાજો જ્યાં સ્ત્રીઓ ટૉપલેસ ફરતી હોય છે ત્યાં ઉરોજ વિષે ખાસ દેખીતું આકર્ષણ હોતું નથી તેવું કહેવાય છે, ત્યાં સ્તન ફક્ત દુધના કૅન તરીકે ઓળખાતા હોય છે. આવા સમાજોમાં પણ સંસર્ગ પહેલાની રમત તરીકે કુચાગ્ર મર્દન તો થતું જ હોય છે. સ્તન મર્દન સ્ત્રીઓને ઉત્તેજિત કરવામાં ચાવીરૂપ ભાગ ભજવતું હોય છે. કામોત્તેજના સમયે સ્તનવૈભવમાં(volume) વધારો થાય છે તેવું Masters and Johnson નું કહેવું છે.

બાળક જ્યારે માતાને ધાવતું હોય છે ત્યારે માતા પણ બાળકના માથે હાથ ફેરવતી હોય છે, એને લાડ કરતી હોય છે, એને પંપાળતી હોય છે. આ સમયે માતા અને બાળક બંનેના બ્રેનમાં વિશ્વાસનું જનક, પ્રેમનું જનક બ્રેન કેમિકલ ઑક્સિટોસિન સ્ત્રાવ વધી જતો હોય છે જે માતા અને બાળક સાથે સામાજિક જોડાણ વધારવામાં ખૂબ મહત્વનો ફાળો આપતું હોય છે. Oxytocin is often referred to as the “cuddling hormone” . માતાને વહાલ ઊભરાઈ જાય તો તરત એના બાળકને ખોળામાં લઈને સ્તનપાન કરાવતી હોય છે. બાળક સ્તનપાન કરતું બંધ થઈ જાય ત્યારે પણ વહાલ ઊભરાય ત્યારે છાતી સાથે જડી દેવાનો એક શિરસ્તો ઊભો થઈ જાય છે.

Oxytocin નું એક બીજું મહત્વનું કામ છે milk let-down response દૂધ નીચે ઉતારવાનું. ખેડૂત મિત્રોને અનુભવ હશે કે ગાય કે ભેંસના થાનમાં દૂધ ભરેલું હોય પણ આંચળોમાં નીચે એકદમ આવતું નથી. દેશી ગાયો અને ભેંસોમાં ખાસ આ પ્રૉબ્લેમ હોય છે. એનું બચ્ચું એને વળગાડો એટલે ગાય કે ભેંસના બ્રેનમાં Oxytocin સ્ત્રવે પછી દૂધ આંચળોમાં નીચે આવે, પછી એનું બચ્ચું ખસેડી ગાયને દોહવાનું શરુ થતું હોય છે. બચ્ચું કોઈ કારણસર મરી ગયું હોય કે બીજા કોઈ કારણસર દૂધ થાનમાં ભરેલું હોય છતાં આંચળોમાં નીચે ઊતરતું નથી ત્યારે પશુપાલકો પશુને Oxytocin ઇન્જેક્શન આપતા હોય છે ત્યારે તરત દૂધ નીચે ઊતરી આવે છે.

ઘણી સ્ત્રીઓ સ્તનપાન કરાવતી વખતે ચરમસીમાએ પહોચી જતી હોય છે તેવું પણ કહેવાય છે. સ્ત્રી સમાગમ વખતે ઉત્તેજિત થાય ત્યારે એના clitoris, vagina, cervix ત્રણેનું પ્રતિનિધિત્વ કરતા નકશા (sensory maps )એના parietal cortex માં ઝબૂકવા લાગે છે. ઘણી સ્ત્રીઓમાં કુચાગ્ર મર્દન સમયે આ ત્રણે નકશા સામટાં ઝબૂકવા લાગે છે તેવું FMRI વડે જાણવા મળેલું છે. આમ પુરુષો માટે તો ખરા જ સ્ત્રીઓ માટે પણ સ્તન જાતીય જીવનમાં ખૂબ મહત્વના હોય છે. પુરુષોને એવરેસ્ટ જેવો ઉન્નત ઉરજવૈભવ જોવો ગમતો હોય છે તો સ્ત્રીને પણ તે એવો ધરાવે છે તે બતાવવાનું ગમતું હોય છે સીના તાન કે…

20130513-152313.jpg

બાર ગાઉ એ બોલી બદલાય

images

બાર ગાઉ એ બોલી બદલાય
બાર ગાઉ એ બોલી બદલાય તે કહેવત ખાલી ભારત માટે થોડી સાચી હોય? આખી દુનિયામાં આ ટ્રેન્ડ ચાલતો હોય છે. એટલે તમે લખવામાં ભાષા શુદ્ધિ નો આગ્રહ રાખી શકો બાકી બોલવામાં કદી રાખી શકો નહીં. હું વિજાપુર(મહેસાણા), નડિયાદ(ચરોતર) અને વડોદરા ઊછરેલો છું માટે મારી બોલવાની ભાષામાં આ ત્રણે વિસ્તારની બોલીનો લહેકો આવી જવાનો તે હકીકત છે. મતલબ હું શુદ્ધ મહેસાણી, શુદ્ધ ચરોતર કે શુદ્ધ બરોડીયન ભાષા બોલતો નથી ત્રણે વિસ્તારની મસાલા ખીચડી જેવી ભાષા બોલુ છું. મારા નાનાભાઈ વળી બરોડા નથી રહેલા તેઓ જામનગર વસેલા છે તો એમની ભાષામાં મહેસાણા, ચરોતર ભેળો સૌરાષ્ટ્રનો રોટલો પણ ભળેલો છે. મારા જીજાબા એટલે બહેનશ્રી વળી સાબરકાઠાં પરણાવેલાં છે એટલે એમની ભાષામાં મહેસાણા, ચરોતર સાથે ઈડર વિસ્તારનો ફેમસ મકાઈનો રોટલો અને અડદની દાળ પણ ભળેલા છે, એમાં બહેનનું પાછું રૉયલ ફેમિલી એટલે ‘આપ પધારો’, ‘આપ બિરાજો’, ‘જી હુકમ’, ‘કાકોસા’, ‘કાકીસા’, ‘ભાભીસા’, ‘ફુવાસા’, જીજાસા’, સાથે નાના બે વરસના જ કેમ ના હોય દીકરાને બાપુ અને દીકરીને બૈજીલાલ કહેવાનો મીઠડો માનવાચક ધારો છે.

‘લૅબુ, મૅઠુ અને પૉણી આવ્યું એટલે સમજો મહેસાણા આવ્યું. ઉચ્ચારણની ભાષામાં આમ અલગ અલગ વિસ્તારમાં થોડો થોડો ફેરફાર તો રહેવાનો જ. આનો કોઈ ઉપાય નથી. એકલાં ભારતમાં જ આવું હોય તેવું પણ નથી. અમેરિકામાં પણ થોડા થોડા ફેરફાર સાથે જ અન્ગ્રેજી બોલાય છે. દરેકનો પોતાની માત્રુભાષાનો ટોન બીજી ભાષામાં આવી જવાનો તે હકીકત છે. આપણે ભલે ભારતમાં બ્રિટીશ અંગ્રેજી ભણ્યા હોઈએ પણ દક્ષિણ ભારતીય અંગ્રેજી બોલશે અને ઉત્તર ભારતીય અંગ્રેજી બોલશે એ બેઉમાં ફરક પડવાનો. ઉત્તર ભારતીય હિંદી બોલે અને આપણે ગુજરાતી હિંદી બોલીયે તેમાં પણ આભ જમીનનો ફરક પડી જતો હોય છે. હું બરોડા રહેતો ત્યારે અમારી ઉપરના માળે થોડા કેરાલીયન મિત્રો રહેતા. એકવાર આવા એક કેરાલીયન મિત્રે પુચ્છ્યું ‘કાના કાયા?’ મને સમજ પડી નહી. હું શું? શું? એમ પૂછવા લાગ્યો. બાજુમાં ઊભેલા મિત્ર અરવિંદભાઈ કહે શું બાઘાં મારે છે? ખાના ખાયા? એવું પૂછે છે.

જોડણીની દ્રષ્ટીએ જોઈએ તો આપણે હળાહળ ખોટું ગુજરાતી લખીએ છીએ, અને હળાહળ ખોટું અંગ્રેજી બોલીએ છીએ. એમાં બધાં જ આવી જાય, પત્રકારો, માસ્તરો, વ્યાખ્યાનકારો, સૌરાષ્ટ્રનો હોય કે ગુજરાતનો કે ભારતનો હોય, વળી પોતાની માત્રુભાષાનો લહેકો પણ એમાં લાવવાનાં જ. એમાં ગુગલનો ગુજરાતી લખવાનો સૉફ્ટ્વેર જે વાપરે તે જે થોડું ઘણું સાચું ગુજરાતી લખતો હોય તે પણ ભૂલી જવાનો. કારણ એમાં તમે શબ્દ આખો લખો અને સ્પેસ દબાવો આખા શબ્દનું ગુજરાતી થઈ જાય. એમાં મનફાવે તેમ જોડણી લખાઈ જવાની. એમાં ‘ઍ’ અને ‘ઑ’ આવતો નથી. એટલે તમે એના બદલે ‘એ’ અને ‘ઓ’ થી ચલવી લેવાના. મને ખબર હતી કે ‘મૅમલ’ સાચો શબ્દ છે, પણ હું ‘મેમલ’ વડે ચલાવી લેતો હતો. આવા તો અનેક શબ્દો છે જેની સાચી જોડણી વગર ચલાવી લેવું પડતું. એના માટે વિશાલ મોણપરાનું પ્રમુખ ટાઈપેડ સારુ, એમાં એક એક અક્ષરનું ગુજરાતી થવા માંડે એટલે તમે સાચું લખી શકો. પણ ગુગલનુ સહેલુ પડતું હોવાથી અને ઝડપથી લખાતું હોવાથી મોટાભાગે તે જ વપરાય છે. એટલે જેને થોડી ઘણી પણ જોડણી સાચી આવડતી હોય તેણે વિશાલભાઈનો સૉફ્ટ્વેર વાપરવો અથવા ‘બરહા’ વાપરવું સારુ રહેશે. ગુજરાતી જોડણી માટે સાર્થ જોડણીકોશ મળે છે. આ જોડણીકોશ વાંચીને એને પબ્લિશ કરનારાઓ ઉપર એક વિદ્વાન મિત્રે એમાં રહેલી ભૂલો બેત્રણ પાનાં ભરીને મોકલી, તો સામે આભાર માનતો પત્ર આવ્યો, તો એમાંથી પણ ભૂલો શોધીને મોકલવામાં આવી તો પછી પેલાં લોકોએ પત્ર લખવાનું જ બંધ કરી દીધું. હાહાહાહા!!!

ગુજરાતીના આટલાં બધાં શબ્દોની જોડણી કોને યાદ રહે? સામાન્યજનનુ તો કામ જ નહીં. એટલે એના માટે એક ઝુંબેશ શરુ થઈ કે જોડણીની પળોજણ છોડીએ એક જ ‘ઉ’ અને એક જ ‘ઈ’ વાપરીએ. આને ઊંઝા જોડણી નામ અપાયું છે. ઘણાં બધા બ્લૉગર મિત્રો ઊંઝા જોડણી વાપરે છે. એક જ ‘ઉ’ અને એક જ ‘ઈ’ વાપરો તો મોટાભાગે જોડણીની સમસ્યા મટી જાય. જો કે ઊંઝા જોડણીમાં લખેલું કોઈ સપાટ ચહેરા વાળો મતલબ મોઢાં પર કોઈ ભાવ દેખાય નહીં તેવા જૉહ્ન અબ્રાહમ જેવા ઍક્ટરની સિનેમા જોતાં હોઈએ તેવું લાગતું હોય છે. જ્યારે સાચી-ખોટી જોડણીમાં લખેલુ દિલીપકુમાર-અમિતઆભ-પરેશ રાવલ જેવા ઉત્તમ અભિનેતાની ફિલમ જોતાં હોઈએ તેવું લાગતું હોય છે. મને એવું લાગે છે, તમને શું લાગે છે મને ખબર નથી. ઊંઝા જોડણીનો સારો એવો પ્રચાર થઈ રહ્યો છે, પણ ઘણા સાહિત્યકારો એનાથી નારાજ છે. એમને લાગે છે આ ઊંઝા જોડણીવાળા ગુજરાતી ભાષાનો નાશ કરી નાખશે. ઊંઝા જોડણીવાળા કહે છે અમારી જોડણી વૈજ્ઞાનીક છે. તો સ્વરપેટી ઉપર આધારિત જોડણી કઈ રીતે અવૈજ્ઞાનિક કહેવાય?

અમેરિકાની વાત કરું તો, અહીં ઉત્તર અમેરિકાના યુ.એસ.એ નામના દેશના ઉત્તરમાં રહેલાં રાજ્યો અને ટેકસાસ જેવાં દક્ષિણમાં રહેલાં રાજ્યોની અંગ્રેજીની બોલચાલની લઢણ ખાસી જુદી પડી જાય છે. એમાં વળી અશ્વેત પ્રજાએ એની પોતાની આગવી લઢણ વિકસાવી છે. અમદાવાદમાં વાહન ચલાવો તો આખી દુનિયામાં ચલાવો પાસ થઈ જાવ તેવું અહીં કહેવાય કે અશ્વેત લોકોનું બોલેલુ અંગ્રેજી સમજી શકો તો પછી ગમે ત્યાં જાવ અંગ્રેજી સમજવામાં વાંધો આવે નહીં. યુ.એસ.એ નીચે આવેલા મેક્સિકો અને એની પણ નીચે આવેલા દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલા દેશોમાં સ્પેનિશ ભાષા બોલાય છે. આ દેશોને લૅટિન અમેરિકન દેશો અથવા સ્પેનિશ દેશો પણ કહેવાય છે.

યુરોપના સ્પેનમાંથી આ દેશો ઉપર આક્રમણ થયેલું. આ બધા દેશો ઉપર યુરોપના સ્પેનની હકૂમત ચાલવા લાગી. મેક્સિકોની માયા અને પેરુની ઈન્કા સંસ્કૃતિનો નાશ કરી નાખવામાં આવ્યો. આશરે ૧૭ હજાર વર્ષ પહેલા વાયા સાયબીરીયા થી માનવો ધીમે ધીમે આ અમેરિકા ખંડમાં અલાસ્કા થી પ્રવેશ કરવા લાગેલા.એમાં જુદી જુદી સંસ્કૃતિઓ અહીં વિકસેલી જેવી કે Mesoamerica(the Olmec, the Toltec, the Teotihuacano, the Zapotec, the Mixtec, the Aztec, and the Maya) and the Andes (Inca, Moche, Chibcha, Cañaris). આમાં માયા સંસ્કૃતિના એમના પોતાના લેખિત રિકૉર્ડ મળે છે. આ બધી સંસ્કૃતિઓ ઘણી વિકસેલી હતી. ખેતીવાડી બાંધકામ બધામાં નિષ્ણાત હતી. ઍઝટેક લોકોએ એક ભવ્ય શહેર બનાવેલું Tenochtitlan, જે પુરાણું મેક્સિકો હતું. ત્યાં લગભગ ૨૦૦,૦૦૦ લોકો રહેતા હશે. તે લોકો ખગોળીય અને ગણિતશાસ્ત્ર જ્ઞાનમાં માહેર હતા.

૧૪૯૨માં કોલંબસની સફર પછી યુરોપિયન લોકોનાં ધાડા આવવાનું અહીં ચાલુ થયું. એ લોકો ગુલામ તરીકે ખેતી કરવા માટે આફ્રિકન લોકો ને લઈને આવ્યા, અને સાથે સાથે જાત જાતનાં મૂળ અહીંના લોકો માટે નવા એવા રોગો લઈ ને આવ્યા. એમાં અહીંની સ્થાનિક પ્રજા મરવા માંડી, બંને વચ્ચે યુદ્ધો થવા લાગ્યા. રીતસરનું જેનસાઇડ શરુ થયું અને સ્થાનિક જાતિઓનો નાશ કરવાનું ચાલુ થયુ. આપણે માનીયે છિયે તેમ સ્થાનિક કહેવાતી રેડ ઈન્ડિયન્સ જાતિઓ સાવ ખતમ નથી થઈ ગઈ પણ એમનું સંકરણ થઈ ગયું છે. જો કે શુદ્ધ રુપે ખતમ થઈ ગઈ છે તેમ કહી શકાય. યુરોપીયન્સ અને સ્થાનિક જાતિઓનું ભેગું થઈ ને જે ક્રોસ બ્રીડિંગ થઈ ગયુ છે તે આજની અમેરિકન સ્પેનિશ પ્રજા કહેવાય છે.

મૂળ અમેરિકન પ્રજા ઉત્તર ધૃવમાં રહેતી પ્રજાના જીન ધરાવતી હાથ પગ ટૂંકા, ઊંચાઈ સાવ ઓછી આપણા ગુરખા જેવી. અત્યારે હું ન્યુ જર્સીના ફ્રિહોલ્ડ વિસ્તારમાં જાઉં તો કહેવાતા સ્પેનિયા જોઈ એવું લાગે કે આ તો આપણાં ગુરખાને ઊંચા કહેવડાવે તેવાં છે. ગોળમટોળ બેઠીદડીના સાવ બટકા આપણાં ગુરખા જ જોઈ લો. કલર પણ ઘંઉવર્ણ બહુ ઊજળા નહી. આ પ્રજામાં એટલી બધી વિવિધતા છે કે ના પૂછો વાત. એકદમ ગોરા ઊંચા થી માંડીને સાવ બટકા અને અશ્વેત પણ મળી આવે. ભલે ગીતામાં ક્રુષ્ણે કહ્યું હોય કે વર્ણસંકર પ્રજાનો નાશ થાય પણ ભારતમાં પણ એટલું બધું સંકરણ થયેલું છે કે ના પૂછો વાત. દક્ષિણ અમેરિકા ખંડ અને ઉત્તર અમેરિકા ખંડ વચ્ચે એક નાની પટ્ટી રૂપ જોડાણ છે જેમાં નાના દેશો આવેલા છે. આ નાની પટ્ટીમાં હોન્ડુરાસ, નિકારાગુઆ, અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, કોસ્ટારિકા, પનામા જેવા દેશો આવેલા છે. જ્યારે નીચે દક્ષિણ અમેરિકા ખંડમાં વેનેઝુએલા, ગુયાના, સુરીનામ, કોલમ્બિયા, ઇક્વાડોર, બ્રાઝીલ, બોલિવિયા, પેરુગ્વે, ઉરુગ્વે, ચીલી, આર્જેન્ટીના વગેરે સ્વતંત્ર દેશો છે. આ બધા દેશોની પ્રજા હિસ્પાનીક કહેવાય છે. વચ્ચે નાના નાના ટાપુઓ રૂપે ઘણા બધા દેશો છે જેવા ક્યુબા, ડોમોનીકન રિપબ્લિક, પોર્ટૄરીકો. આ દેશોની પ્રજા લાતીનો કહેવાય છે. બોલે છે બધાં સ્પેનિશ પણ બધાનું સ્પેનિશ અલગ અલગ છે. પણ જેમ આપણે ગુજરાતના કોઈ પણ ભાગમાં બોલાતું થોડું અલગ ગુજરાતી સમજી જઈએ છિયે તેમ આ પ્રજા પણ અલગ અલગ પ્રકારનું બોલાતું સ્પેનિશ સમજી જતી હોય છે.

ચાલો ફરી અંગ્રેજી ઉપર આવીયે તો શેક્સપિયર પહેલાં જે અંગ્રેજી વપરાતું હતું તે ઓલ્ડ અંગ્રેજી સાવ જુદું હતું, આજે કોઈને સમજાય નહી તેવું. શેક્સપિયરે નવા અંગ્રેજીના વિકાસમાં ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ક્રાન્તિ અને વિકાસની વાતો કરનારા માટે નવું અંગ્રેજી જરૂરી હતું. નવું અંગ્રેજી રિબેલિયન ભાષા હતી. એકલાં શેક્સ્પિયરે ખુદ ૨૦-૨૫૦૦૦ શબ્દો નવા પ્રયોજ્યા હશે. એટલે તો અંગ્રેજી સાહિત્યમાં એનું આટલું બધું માન છે. અંગ્રેજીમાં આજે રોજ નવા શબ્દો ઉમેરાય છે અને તે પણ દુનિયાની તમામ ભાષાઓમાંથી. સંસ્કૃતની વાત કરીયે તો વેદોનું સંસ્કૃત અલગ છે. પાણિનીનું પરફેક્ટ વ્યાકરણ સહીતનુ સંસ્કૃત અલગ પડી જાય છે. વેદ કાળના સંસ્કૃતમાં ‘ળ’ છે, પાણિનીના સંસ્કૃતમાં ‘ળ’ નથી. વળી ગુજરાતીમાં ‘ળ’ છે. પ્રાકૃત અને પાલી અશુદ્ધ સંસ્કૃત જ કહેવાય. તો આજની ભારતની ગુજરાતી સહિત અનેક ભાષાઓ અશુદ્ધ સંસ્કૃત કહી શકીયે.

આપણે હળાહળ ખોટું ગુજરાતી લખીએ છિયે અને હળાહળ ખોટું અંગ્રેજી બોલીયે છિયે. ચાલો થોડા નમૂના બતાવું.. આપણે અંગ્રેજીના of ને ઑફ કહીએ છિયે ખરેખર ઑવ છે. Dose ડોઝ ખોટું છે એને ડૉસ કહેવાય. Planning પ્લાનિંગ ખોટું છે પ્લૅનિંગ કહેવાય. Efficient એફિશિયન્ટ ખોટું છે એફિશન્ટ કહેવાય. adoption એડોપ્શન ખોટું છે અડૉપ્શન કહેવાય. Protection પ્રોટેક્શન ખોટું છે પ્રટેક્શન કહેવાય. avoid એવૉઈડ ખોટું છે અવૉઈડ કહેવાય. Violence વાયોલેન્સ ખોટું વાયલન્સ સાચું. accelerator ઍક્સિલેટર ખોટું છે એક્સલરેટર કહેવાય. ફિલૉસૉફી ખોટું ફિલૉસફી કહેવાય. Alpha આલ્ફા ખોટું છે ઍલ્ફા કહેવાય. Monogamy મૉનોગેમી ખોટું મનૉગમી કહેવાય તેવી રીતે polygamy પૉલીગેમી પણ ખોટું છે પૉલીગમી કહેવાય. release રિલીઝ પણ ખોટું રિલીસ કહેવાય. બિહેવિયર પણ ખોટું બિહેવ્યર કહેવાય. થાકી ગયો યાર…છોડો આવા તો અનેક શબ્દો છે જે આપણે ખોટા બોલીયે છિયે અને લખીએ પણ છિયે..

સમજમાં નાં આવે આ સ્નેહબંધન Hard Truths About Human Nature.

સમજમાં ના આવે આ સ્નેહબંધન

યત્રનાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:|
યત્ર એતાસ્તુ ન પૂજ્યન્તે તત્ર સર્વા અફલા ક્રિયા:||

કહેનારનાં દેશમાં બુધે ઢોર પાંસરું, બુધે નાર પાંસરી કે ઢોલ ગંવાર શૂદ્ર પશુ નારી સબ તાડન કે અધિકારી એવું પણ કહેવાય છે. કેમ કે આવું કહેનારા મહાપુરુષો જુદા જુદા હોય છે. જ્યારે imagesનારીની પૂજા નથી થતી ત્યાં બધી ક્રિયાઓ અફળ જાય છે તેવું કહેનારનાં દેશમાં સ્ત્રીને ચૂંથીને એની યોનિમાં જીવલેણ સળિયા પણ ભોંકાયા છે. સ્ત્રીઓ પ્રત્યે જોવાનો દરેકનો નજરિયો અલગ અલગ હોય છે. અંગત ગાઢ સંબંધોમાં સામેની જાતિના વ્યક્તિ પ્રત્યે માનસન્માન અને એને ગમાડવાની લાગણી અનેક બાબતો વડે ઘડાતી હોય છે.

હેટરોસેકસ્યુઅલ-વિજાતીય સંબંધોમાં તમારા પ્રેમીજન બાબતે તમારું વલણ કેવું છે તેનો આધાર વિજાતીય વ્યક્તિઓ પ્રત્યે તમારું વલણ કેવું છે તેના ઉપર પણ આધાર રાખે છે. દાખલા તરીકે તમે પુરુષ હોવ તો તમારી પત્ની કે પ્રેમિકા પ્રત્યે વલણ કેવું છે તેનો આધાર સમસ્ત સ્ત્રી જાતિ પ્રત્યે કેવું વલણ છે તેના ઉપર પણ આધાર રાખે તેમાં નવાઈ નહિ.

સામાન્યતઃ પુરુષોનો સ્ત્રીઓ પ્રત્યે બે પ્રકારનો દ્રષ્ટિકોણ હોય છે, “hostile” and “benevolent” sexism. હૉસ્ટાઇલ એટલે દુશ્મનાવટભર્યું અને બિનૅવલન્ટ એટલે હિતકારી મદદકર્તા. સ્ત્રીને સ્ત્રી સમજવામાં કોઈ વાંધો નથી પણ સ્ત્રીને જાતિ કે લિંગના આધારે એના પ્રત્યે કંઈક અલગ વર્તાવ કરવો કે અણછાજતું વર્તન કરવું તેને અંગ્રેજીમાં સેક્સિઝમ કહેતા હોય છે. આવું અણછાજતું વર્તન કરનારને સેક્સિસ્ટ કહેતા હોય છે. Benevolent sexism જરા વિરોધાભાસી લાગશે. હિતકારી અણછાજતું વર્તન? સ્ત્રી પુરુષના સંબંધોમાં હિતકારી વલણ હકારાત્મક બાબત બની શકે. હિતકારી હોય કે શત્રુતાવાળું અણછાજતું તો અણછાજતું જ રહેવાનું. Sexism in any form is still sexism.

હૉસ્ટાઇલ સેક્સિસ્ટ એવું માનતા હોય છે કે સ્ત્રીઓ પ્રપંચયુક્ત હોય છે, એમને સ્પેશલ કાયદા કે આરક્ષણને લીધે અમારી જૉબ છીનવાય છે, સ્ત્રીઓ વિનાશક છે. નારી નરકની ખાણ કે બુધે નાર પાંસરી કહેનારા હૉસ્ટાઇલ સેક્સિસ્ટ હોય છે. સ્ત્રીઓના મુખ નાં જોવાય કહેનારા પણ સ્ત્રીઓ પ્રત્યે ચીડ, ગુસ્સો અને રોષના બંદરે નાવ લાંગરીને બેઠેલા હૉસ્ટાઇલ સેક્સિસ્ટ મહાપુરુષો જ છે. સ્વાભાવિકપણે સ્ત્રીઓ માટે સારા પાર્ટનર પુરવાર થવું આવા લોકો માટે મુશ્કેલ છે અને ખાસ તો આવું શત્રુતાવાળું વલણ રાખનારને સ્ત્રી પહેલા તો પસંદ જ ના કરે.

બિનૅવલન્ટ સેક્સિસ્ટ પુરુષો તો તમને ઠેર ઠેર મળી જવાના. બસમાં સ્ત્રી પ્રવેશ કરે ઊભા થઈને બેસવાની જગ્યા આપનારા પુરુષો તમને જોવા મળતા જ હશે. કોઈ અશક્ત કે જેને ખરેખર જરૂર હોય, જેવી કોઈ બાળકને તેડીને ઊભેલી સ્ત્રીને જગ્યા આપે તો બરોબર છે. બિનૅવલન્ટ સેક્સિસ્ટ ભલે એક રીતે સારા લાગે પણ ખરેખર આવા પુરુષો સ્ત્રી સ્વાતંત્ર્ય માટે વધુ જોખમી હોય છે. તેઓ સ્ત્રીને નાજુક, અસહાય, કમજોર સમજતા હોય છે. તેઓ સમજતાં હોય છે કે સ્ત્રીને હમેશાં પુરુષોના રક્ષણ નીચે જીવવું જોઈએ. સ્ત્રીને કાયમ પુરુષ પ્રટેક્શનની જરૂર હોય જ છે. સ્ત્રી પુરુષના રક્ષણ અને મદદ વગર જીવી જ ના શકે. સ્ત્રીએ હમેશાં પુરુષોની આજ્ઞામાં રહેવું જોઈએ જેથી એમનું રક્ષણ થાય. એકંદરે આવા. બિનૅવલન્ટ સેક્સિસ્ટ પુરુષોની નિશ્રામાં જીવતી સ્ત્રીઓ પણ માનતી થઈ જતી હોય છે કે એમને સતત રક્ષણની જરૂર છે. આમ કોઈપણ પ્રકારનું સેક્સિઝમ સ્ત્રીની મેન્ટલ હેલ્થ, એની કામ કરવાની ક્ષમતા, સુખની લાગણીઓ વગેરે માટે હાનિકારક હોય છે.

હૉસ્ટાઇલ સેક્સિસ્ટ તો તરત પરખાઈ જતો હોય છે. Non-sexist અને બિનૅવલન્ટ સેક્સિસ્ટ વચ્ચે ભેદ પારખવો બહુ મુશ્કેલ હોય છે. દીકરીને ગાય દોરે ત્યાં જાય કહેનારો આપણો તો ઍવરિજ આખો સમાજ સ્ત્રીઓના હિત માટે એની સાથે અણછાજતું વર્તન કરનારો ( બિનૅવલન્ટ સેક્સિસ્ટ) છે. પહેલા સ્ત્રી નાની હોય ત્યારે માતાપિતા ભાઈઓના રક્ષણ હેઠળ જીવવાનું, પછી પતિના રક્ષણ હેઠળ જીવવાનું પછી ઘરડી થાય એટલે પુત્રોના રક્ષણ હેઠળ જીવવાનું.images=-==

Non-sexist બિનજરૂરી ભાવ બતાવનારો કે સ્ત્રીના કામમાં મદદના બહાને પણ બિનજરૂરી દખલ દેનારો હોય નહિ. સ્ત્રીને સ્ત્રીનું કામ કરવા દો જરૂર પડશે તો મદદ કરીશું. સ્ત્રી એના પગ ઉપર ઊભી રહેવા પૂરતી સક્ષમ અને સ્વતંત્ર છે. ઓશો કહેતા કે બાળકોના હિત માટે ફાયદા માટે ભલા માટે આપણે આપણા બાળકો ઉપર ઘણી ક્રૂરતા આચરતા હોઈએ છીએ. એવી રીતે સ્ત્રીઓના ભલા માટે મદદ માટે આપણે એમની સાથે ક્રૂરતા કરતા હોઈએ છીએ પણ એ માનવું મુશ્કેલ છે.

આ સિવાય સ્ત્રી પુરુષ વચ્ચે સ્નેહબંધનનો પ્રકાર હોય છે જેને attachmentstyle કહેતા હોય છે. સ્ત્રીપુરુષના સંબંધો બહુ કૉમ્પ્લેક્સ હોય છે. Attachment style રોમૅન્ટિક રિલેશનશીપ તરફ આગળ વધતા તમારા માતાપિતાએ તમારો ઉછેર કઈ રીતે કર્યો છે તેના પર આધાર રાખતી હોય છે. જો તમે બચપણમાં અવગણના, અનાદર સહન કર્યા હોય, પૂરતી સલામતી અનુભવી ના હોય તો મોટા થઈને તમારો પાર્ટનર તમને છોડી દેશે તેવું સતત લાગ્યા કરતું હોય છે. જો તમે તમારા માતાપિતા કે કેરગીવર પાસેથી પૂરતી સલામતી અને આદર અનુભવી ચૂક્યા હશો તો પુખ્તવયે તમારા પાર્ટનર માટે તમને ખૂબ વિશ્વાસ રહેવાનો જ છે. Attachment style-સ્નેહબંધન, અનુરાગમાં પણ secure-સલામત અને insecure-અસલામત એમ બે પ્રકાર માનવામાં આવતા હોય છે. Insecure અટૅચમંટ સ્ટાઇલમાં વળી મનોવૈજ્ઞાનિકો વધુ વિભાગ પાડતા હોય છે. Anxiously-આતુરતાપૂર્વક જોડાયેલા વળી અસ્વસ્થ કાયમ ગભરાતાં હોય છે. એમને કાયમ કોઈની જરૂર પડતી જ હોય છે. Avoidant અટૅચમંટ સ્ટાઇલ ધરાવતા લોકો વળી એમની અસલામતી અંતર રાખીને જતાવતાં હોય છે. કદી નજીક આવશે નહિ આમ એમના પાર્ટનર સાથે ઈમોશનલી નજદીકિયા રાખી શકતાં નથી.

High in hostile sexism લોકોને પ્રથમ તો સ્ત્રીને જો પસંદ કરવા દેવામાં આવે તો પસંદ કરતી જ નથી અને કદાચ રૉમૅન્સ ડિપાર્ટમેન્ટમાં યેનકેન પ્રકારે સફળ થઈ ગયા તો એમને hostile માંથી ધીમે રહીને benevolent sexist બનવા તરફ ઢળવું પડતું હોય છે. આવા લોકોને આ વિષયમાં સંશોધન કરનાર Union College social psychologist Joshua Hart પરસ્પર વિરોધી લાગણીવાળા ambivalent sexist કહે છે.

આતુરતાપૂર્વક સ્નેહબંધનમાં જોડાયેલાં ચિંતાતુર લોકો બિનૅવલન્ટ સેક્સિસ્ટ બની જતા હોય છે. જ્યારે ઉપેક્ષિત થયેલા સ્નેહબંધનમાં હૉસ્ટાઇલ સેક્સિસ્ટ બની જાય તો નવાઈ નહિ. Anxiously attached મહાપુરુષોની સ્થિતિ વળી બહુ કૉમ્પ્લિકેટેડ હોય છે. દિલોજાન દોસ્ત વગર જીવી જ નહિ શકાય તેવું માનતા હોય છે. તેમની સ્ત્રીઓને છેવટે benevolent sexism ની પગદંડી ઉપર મૂકી દેતા હોય છે. આમ સ્ત્રીઓને પરતંત્ર બનાવી દેતા હોય છે. પત્ની સાથે Anxiously attached મહાપુરુષ કહી ગયા છે કે ઢોલ, ગંવાર, શૂદ્ર, પશુ, નારી સબ તાડન કે અધિકારી…

બેસ્ટ રોમૅન્ટિક પાર્ટનર એ છે કે જે સલામતી અનુભવતો સ્નેહબંધનમાં જોડાયેલો સ્ત્રીઓ પ્રત્યે સાનુકૂળ વલણ ધરાવતો હોય હિતકારી બનવાની આડમાં સ્ત્રીની સ્વતંત્રતા ઉપર તરાપ મારે નહિ. જો કે આ બધી વાતો ભારતીય સમાજ માટે ગળે ઊતારવી અઘરી પડશે. કારણકે કહેવાતા ઉચ્ચ આદર્શો, સમાજમાં દાખલા બેસાડવાના બહાના, રાજધર્મ, પ્રજાધર્મ વગેરે વગેરે અનેક બહાને અને છેવટે સ્ત્રીઓના લાભ માટે સ્ત્રીઓ ઉપર જુલમ ગુજારવામાં કશું બાકી રાખ્યું નથી. અગ્નિપરીક્ષા લીધી તો કહે સમાજમાં દાખલો બેસાડવાનો છે. અલ્યા કયો દાખલો? શેનો દાખલો? એનો કોઈ વાંક તો બતાવો? ગર્ભવતીનો ત્યાગ તો કહે સમાજમાં દાખલો બેસાડવાનો છે. અલ્યા ભાઈ પાછો શેનો દાખલો? ધોબીએ મહેણું માર્યું હતું. તો જાવ ધોબીને એક લાફો મારો અને સમાજમાં દાખલો બેસાડો. દાખલા જ્યાં બેસાડવાના છે ત્યાં નથી બેસાડવા અને જ્યાં નથી બેસાડવાના ત્યાં બેસાડીએ છીએ