Category Archives: ધર્મ અને અધ્યાત્મ

નઘરોળ હવે નપુંસકતા તરફ

imagesCAHCANPHનઘરોળ હવે નપુંસકતા તરફ

બદઈરાદાથી સુમસામ વગડામાં મેના ગુર્જરીની પાછળ પડેલા સુલતાનને મેના કહે છે ”જીવ વહાલો હોય તો ભાગવા માંડ ..મારા સવા લાખ ગુર્જર બાંધવોને ખબર પડશે તો તને જીવતો સળગાવી દેશે ”..અને આજે કોઈ દીકરીની કૉલેજમાં, ઑફિસમાં કે કોઈ પણ જગ્યાએ સતામણીનો ભોગ બને છે ત્યારે માત્ર મારા પાંચ ભાઈઓને ખબર પડશે તો તારું આવી બનશે એવું કોઈ દીકરી વિશ્વાસ પૂર્વક કહી શકશે ખરી ..?
———હે મારા દેશની દામિનીઓ ..માફી માંગવાનો અધિકાર રહ્યો છે કે કેમ ..ખબર નહી ..પણ બની શકે તો લાચાર અને નપાણીયા પુરુષત્વને માફ કરીને હવે તમારી સુરક્ષાના રસ્તાઓ તમે જ શોધીને અપનાવી લો.—શ્રી. લવજીભાઈ નાકરાણી

ઉપરના વાક્યો કેટલા સત્ય લાગે છે. મિત્ર લવજીભાઈ નાકરાણી એમના દિલની મહાવ્યથા આ વાક્યો દ્વારા ફેસબુકમાં દર્શાવી ચૂક્યા છે. એમની આ લાચાર વ્યથા વાંચતા મારું દિલ ભરાઈ ગયેલું. શું આપણો નઘરોળ સમાજ હવે નપુંસકતા તરફ પ્રયાણ કરી રહ્યો છે કે કરી ચૂક્યો જ છે? કે પછી આપણી સંવેદનશીલતા નાશ પામી ચૂકી છે? એક મૃતપાય છોકરીનો દેહ નગ્ન હાલતમાં કલાક સુધી રોડ ઉપર પડી રહે પણ ના કોઈ એને કપડું ઓઢાડે કે ના કોઈ પોલીસ બોલાવે કે ના કોઈ ઇમર્જન્સી નંબર લગાવી એમ્બ્યુલન્સ બોલાવે. મોટાભાગે ‘આપણે શું?’ એવી માનસિકતા હોય છે અને બીજો ખયાલ પોલીસ ખોટી રીતે સંડોવી દે અથવા હજાર સવાલ કરીને સમય બરબાદ કરે અથવા ભવિષ્યમાં પોલીસ ચોકી અને કોર્ટના ચક્કરમાં પડવું પડે તેવા સવાલો ઊભા થતા લોકો કોઈ નક્કર પગલા ભરવાના બદલે તમાશો જોતા હોય છે. આ કોઈ એકની વાત નથી, મારા, તમારા સહુની વાત છે. શાસનવ્યવસ્થા હવે રક્ષણ કરી શકે તેમ રહી નથી. તો શું કાયદો આપણે હાથમાં લઈ લેવો? સ્વરક્ષણ કરવાની તો સહુને છૂટ હોય છે. તો સ્ત્રીઓએ એમનું રક્ષણ જાતે જ કરી લેવાનું? આપણે હવે રક્ષાબંધન ઊજવવાનું બંધ કરી દેવું જોઈએ, આ તહેવાર હવે કામનો રહ્યો નથી. નપુંસક સમાજમાંથી ચૂંટાતા રાજનેતાઓ તમારું રક્ષણ કરી શકે તેવી વ્યવસ્થા આપવામાં નિષ્ફળ ગયા છે. છતાં આપણે અસભ્ય બનવું નથી, કોઈ ખૂનામરકી કરવી નથી પણ અસભ્ય બનતા જતા લોકોને સભ્યતાના પાઠ એમના જડબા તોડીને શીખવવાના જરૂર છે.

દરેક માબાપે એમની દીકરીઓને સારા ચમ્પુઓ મળે તેની આશામાં ગૌરી વ્રત કરાવવાને બદલે કરાટે ક્લાસમાં મૂકી સ્વરક્ષણનાં દાવપેચ શીખવાનું ફરજિયાત કરી દેવું જોઈએ. દીકરીઓને કેવાં કપડાં પહેરીને નીકળવાની આચારસંહિતા બતાવવાને બદલે સ્વરક્ષણ કરવાની તાલીમ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. લાલુ યાદવ અડધિયા બંડી પહેરી ૧૫૦ દેશો દેખતા હોય તેમ ટીવી પર આવી શકે અને આપણે સ્ત્રીઓને કેવાં કપડાં પહેરવા તેની શિખામણો આપીએ છીએ. બધી શિખામણો ફક્ત સ્ત્રીઓ માટે જ કેમ? એકલાં ભારતની વાત નથી આખી દુનિયામાં બચપણથી સ્ત્રીઓને કોઈ પણ રીતે દબાવી રાખવાની પ્રવૃત્તિ સદીઓથી ચાલતી આવી છે. પુરુષોને ડર હોય છે કે સ્ત્રીઓને દબાવી નહિ દઈએ તો તે આપણને દબાવી દેશે. ચીનમાં સ્ત્રીઓને બાળકી હોય ત્યારથી જ લોખંડના જૂતા પહેરાવતા, જેથી એના પગ સાવ અવિકસિત અને નાના નાજુક રહી જાય જેથી તે દોડી ના શકે, કોઈના સહારા વગર ચાલી પણ ના શકે. વળી જેટલા નાના નાજુક પગના પંજા તેટલા રૂપાળા તેવી વ્યાખ્યા પણ રચાઈ ગઈ જેથી સ્ત્રી વિરોધ ના કરે. પ્રકૃતિએ સ્ત્રીને બાળકને જન્મ આપવાની જવાબદારી સોંપી છે અને આ જવાબદારી જે શક્તિશાળી હોય તેને જ સોંપાય..માટે જ દુનિયાના પ્રાચીનતમ ધર્મોએ પુરુષના રૂપમાં નહિ પણ સ્ત્રીના રૂપમાં પરમાત્માની કલ્પના કરી છે. સર્જનહાર સ્ત્રી હોવી જોઈએ તે સમજમાં એક ઊંડાણ હતું. ગોડ ધ ફાધર નવો કૉન્સેપ્ટ છે. ગોડ ધ મધર બહુ પ્રાચીન કૉન્સેપ્ટ છે. પ્રાણી હોય કે પક્ષી માતા નિશ્ચિત હોય છે, પિતા કોઈ પણ હોઈ શકે. બાળકના જન્મ માટે પ્રકૃતિ પિતાનું કામ બહુ ગહેરાઈથી નથી લેતી. એક સ્પર્મ ઈન્જેકટ થઈ ગયું પિતાનું કામ પૂરું. ઊંડું અને સૃજનાત્મક કામ તો માતાનું છે. પ્રકૃતિએ સ્ત્રીને સૃજનના સ્ત્રોત્ર તરીકે પસંદ કરી છે. પ્રૉબ્લેમ એ છે કે સ્ત્રીને બાળક મોટું કરવાનું હોય છે માટે તે રિસ્ક ટેકર ઓછી હોય છે અને તેથી તેને કમજોર સમજવાની ભૂલ કરીએ છીએ. એક સ્ત્રી ૨૦ બાળકોને જન્મ આપે છતાં પુરુષ કરતા પાચ વરસ વધારે જીવવાની ક્ષમતા ધરાવે છે. સ્ત્રી બીમાર ઓછી પડે છે. આજે જે બીમારીઓ સ્ત્રીઓને લાગી છે એ સ્ત્રીઓની નથી. પુરુષોએ જે સમાજ બનાવ્યો છે એની શોધ છે. મેલ ડોમીનેટેડ સમાજમાં એને એડજસ્ટ થવું પડે છે. સ્ત્રીઓને આવતા હિસ્ટીરિયા પુરુષપ્રધાન સમાજમાં એડજસ્ટ થવા ને લીધે આવે છે.

બીજા દેશોની સરખામણીએ ભારતમાં બળાત્કાર ઓછા થાય છે તેવું કહેવાય છે. નોંધાય તો દેખાયને એક જમાનાનો બહાદુર સમાજ ભય વખતે જોખમ વખતે સર્વાઈવલ માટે ફાઈટને બદલે ફ્લાઇટ અપનાવતો થઈ ગયો ત્યારથી જ નપુંસકતા તરફ આગળ વધવા માંડેલો છે. અમે તો બધાને અપનાવી લીધાંની ડંફાશ મારતો સમાજ જે આવ્યા તેની સામે ઝૂકી પડ્યો. શક, હૂણ, કુષાણ, મુસ્લિમ, અંગ્રેજ જે આવ્યા બધા સામે ઝૂકી ગયો. જે લડ્યા તે ગયા. સમર્પણ આ દેશના લોહીમાં સમાઈ ગયું. કાલ્પનિક ભગવાન આગળ સમર્પણ તો પછી બધા સામે સમર્પણ. તમે સમર્પણની માનસિકતા કેળવો તો કોઈની સામે લડી ના શકો. હૂણ સામે સમર્પણ અને અંગ્રેજ સામે નહિ તેવું બને ખરું? ગુરુ સામે સમર્પણ અને નેતા સામે નહિ તેવું બને ખરું? કાચ પાછળ મઢેલા ભગવાનને પગે લાગી, કરગરીને ઘર બહાર નીકળતો કોઈ ઑફિસમાં ક્લાર્ક આગળ કામ કઢાવવા કરગરી જ પડવાનો કે થોડો પ્રસાદ ધરાવીશ ટેબલ નીચેથી પણ મારું આટલું કામ થઈ જાય. નપુંસક સમાજ એની માનસિક નપુંસકતા છુપાવવા છોકરાં ખુબ પેદા કરવાનો, વસ્તી ખુબ વધારવાનો. જુઓ અમે કેટલાં બહાદુર છીએ, અમે કેટલા મર્દ છીએ? મૃતપાય બળાત્કારીઓએ પીંખી નાખેલી નગ્ન બાળાને ફક્ત જોઈ રહેલા સેંકડો નમાલાં પેદા કરવા એના કરતા એક ફોન કરીને પોલીસ કે એમ્બ્યુલન્સ બોલાવતો અને તેને કપડું ઢાંકતો મર્દ પેદા કરવો શું ખોટો? જેવો સમાજ એવા સમાજમાંથી આવતા તેમના નેતાઓ. દંભી સમાજમાંથી દંભ વગરના નેતાઓ ક્યાંથી લાવશો? કમજોર સમાજમાંથી ગુન્હેગારોને સખત દંડ આપે તેવા બહાદુર નેતાઓ ક્યાંથી લાવશો? એટલે થોડા ગણ્યાગાંઠ્યા ગુંડાઓ આખા સમાજ પર એમની ધાક જમાવતા હોય છે. થોડા ભ્રષ્ટ નેતાઓ આખા દેશને બાનમાં લઈ લેતા હોય છે.

હે! આ દેશની સ્ત્રીઓ અમે ભારતની જનતા યુધિષ્ઠિરનો કૉલર પકડી જવાબ માંગી શક્યા નથી કે સ્ત્રી શું જુગારમાં મૂકવા સમાન વસ્તુ હતી? અમે ભારતની પ્રજા રાજાઓને ભગવાન સમજતી માટે રામની સામે મીણબત્તી સરઘસ કાઢી પૂછી શક્યા નથી કે સીતાજીની શું ભૂલ હતી? એમને કેમ ભૂગર્ભમાં જતા રહેવું પડ્યું? આ દેશની દીકરીઓ આજ સુધી અમે નઘરોળ હતા હવે નપુંસક બની ચૂક્યા છીએ હવે અમે તમારું રક્ષણ કરી શકીએ તેવા સક્ષમ રહ્યા નથી તમે તમારી વ્યવસ્થા જાતે જ કરી લો, તમારું રક્ષણ જાતે જ કરી લો. અમે ભલે થોડા દિવસ બુમો પાડીશું પણ પછી હતા તેના તે જ રહેવાના છીએ…તેના તે જ રહેવાના છીએ..

નઘરોળ સમાજની અહલ્યા.

images-9અહલ્યા, મમતા, સીતા, દ્રૌપદી થી માંડીને આજની દિલ્હીની કૉલેજ કન્યા સુધી ભારતનો નઘરોળ સમાજ સ્ત્રીઓના માનસન્માન અને હકની બાબતમાં કાયમ ઊંઘતો જ રહ્યો છે. એ બાબતમાં એનો આદર્શ કુંભકર્ણ રહ્યો છે. રાવણના પૂતળા દર વર્ષે બાળીયે છીએ તે હવે બંધ કરવું જોઈએ. એના બદલે દિલ્હીના આ બળાત્કારીઓના પૂતળા દર વર્ષે બળવા જોઈએ. રાવણ જેવો મહાબલી જે કરવા નહોતો માંગતો તે આ લોકોએ કરી બતાવ્યું છે. રાવણ સીતાજીને ભલે ઉપાડી ગયો પણ એમના પર બળાત્કાર નહોતો કર્યો, એમને રોજ સમજાવવા જતો હતો. કે ભાઈ મારી પાસે અમાપ સંપત્તિ છે. મારા બનીને રહો. તે સિમ્પલ મેમલ બ્રેઈનને અનુસરતો હતો, કે સ્ત્રીઓને સંપત્તિ વડે હાઈ સ્ટેટ્સ વડે આકર્ષી શકાય છે. સ્ત્રી બળવાન પુરુષ પ્રત્યે આકર્ષાય છે કેમકે એને બળવાન જિન્સ ઉછેરવા છે. સ્ત્રી સંપત્તિવાન પ્રત્યે આકર્ષાય છે કેમકે આ જિન્સ તેને મોટા કરવાના છે. સ્ત્રીઓ સંપત્તિવાન પ્રત્યે આકર્ષાય છે એમાં કશું અનૈતિક નથી, કશું ખોટું નથી, કેમકે એનામાં રોપેલા જિન્સ એને મોટા કરવાના છે. સંપત્તિ વગર તે સારી રીતે શક્ય નથી હોતું. રાવણ કરતા સાવ ખાડે ગયેલાંઓની આપણે પૂજા કરીએ છીએ અને રાવણના પૂતળા બાળીએ છીએ તે પણ દર વર્ષે. આ દિલ્હીના નરાધમોના પૂતળા દર વર્ષે બાળી સમાજે કંઈક નવું ઇનોવેટીવ કરવું જોઈએ.

આપણો સમાજ સેક્સ સપ્રેસ્ડ છે તેવું કહું છું ત્યારે ઘણા બધાને મરચાં લાગી જતા હોય છે. બળાત્કાર આખી દુનિયામાં થતા હોય છે. પણ પશ્ચિમનો સમાજ આટલો સેક્સ સપ્રેસ્ડ નથી. ન્યુયોર્કની ભૂગર્ભ ટ્રેઇનોમાં  ખુબ ભીડ હોય પણ કોઈ પુરુષ બાજુમાં ઊભેલી સ્ત્રીને ઇરાદાપૂર્વક અડકવાની ચેષ્ટા કરે નહિ. ભૂલથી દોડતી ટ્રેઇનમાં અડકી જવાય તો કેટલીય વાર સોરી કહેવાનો..અહીં કોઈ હાથની અદબવાળી બાયસેપ નીચેથી બીજા હાથની આંગળીઓ લંબાવી બાજુમાં બેઠેલી સ્ત્રીના અંગોને સ્પર્શવાની કુચેષ્ટા કરતું જોવામાં આવતું નથી. ભારતીય સ્ત્રીઓ તો પુરા કપડામાં સજ્જ હોય છે. એની ચામડીને ડાઇરેક્ટ સ્પર્શ તો તમે ભાગ્યેજ કરી શકો, જે સ્પર્શ કરો તે એના કપડાને જ કરી શકો છતાં આ વિકૃતો સ્ત્રીના કપડાને અડીને પણ સ્ખલિત થઈ જતા હોય છે. જો સ્ત્રીનું અનાવૃત શરીર હાથમાં આવે તો શું દશા કરી નાખે?

શિવપાર્વતીના લગ્નમાં મહારાજ મતલબ પુરોહિત કોણ બનેલું? લગ્નની વિધિ બ્રહ્માજીએ કરાવેલી. ચોરીમાં પાર્વતી આવ્યા મહારાજ મતલબ બ્રહ્માજી કર્મકાંડ કરાવતા કરાવતા એમના પગ જોઇને સ્ખલિત થઈ ગયા. અવિશ્વાસુઓએ શિવપુરાણ વાંચી લેવું હિતાવહ છે. ભાગવતના ત્રીજા સ્કંધમાં બ્રહ્માજીનો એમની પુત્રી પ્રત્યેના કામાંધપણાનો ઉલ્લેખ છે અને મરીચી વગેરે પુત્રો એમને સમજાવે છે કે આવું કોઈ કરતું નથી અને ભવિષ્યમાં કોઈ કરશે નહિ. બાપા હવે તો સુધરો..

સેક્સ પ્રત્યેના ખોટા અવૈજ્ઞાનિક અભિગમને લઈને એક સેક્સ સપ્રેસ્ડ સમાજ પેદા થાય છે. જે સેકસના કુદરતી આવેગને જરાય સહન કરી શકતો નથી. સેક્સ પર જેટલો કાબુ મેળવવા જાય છે તેટલો જ સેક્સ તેના પર કાબુ મેળવી લેતો હોય છે. શું ઉકાળ્યું બ્રહ્મચર્યની વાતો કરીને? નેચરલ પોલીગમસ સમાજમાં બધાને સ્ત્રીઓ ઉપલબ્ધ નહોતી. સ્ત્રી બળવાન અને વિપુલ સંપત્તિવાન પુરુષની ત્રીજી ચોથી પત્ની બનવા તૈયાર હતી અરે એની રખાત બનીને રહેવા તૈયાર હતી પણ માયકાંગલા અને ભિખારીની પહેલી પત્ની બનીને એના નકામાં વિર્યહીનનાં  બાળકોની માતા બનવા તૈયાર નહોતી. ત્યારે અમુક વિચારશીલ પુરુષો સ્વેચ્છાએ એમનો સ્ત્રીઓ પરનો દાવો જતો કરીને કે સ્ત્રી મેળવવાનો પ્રયત્ન બંધ કરીને વનમાં જતા રહેતા કે બ્રહ્મમાં ચર્યા કરતા કે જગતના અજાણ રહસ્યો ઉકેલવા એમની શક્તિ કામે લગાડતાં, ચિંતન મનન કરતા આ થયા બ્રહ્મચારી.

સમાજે આવા પુરુષોનું  ખુબ સન્માન કર્યું હતું. એમને ઉચ્ચ સ્થાને બેસાડ્યા હતા. પણ પછી મજબૂર મહાત્માઓ પણ બ્રહ્મચારી બની જતા તો બ્રહ્મચર્યનો સંબંધ સેક્સ ના કરવો એમાં ગૂંથાઈ ગયો. સેક્સ કરવા નહોતો મળતો તેઓ બ્રહ્મચારી બનતાં એમાં બ્રહ્મચારી બની સેક્સ ના કરવો એવો ગલત અર્થ ભળી ગયો..અસલી બ્રહ્મચારીઓ જેઓ અભ્યાસુ હતા, ઋષિઓ હતા, વૈજ્ઞાનિકો હતા એમનું સમાજે અઢળક માન કર્યું તો મજબૂર મહાત્માઓએ ગલત અર્થ ધારણ કરી લીધો કે સેક્સ કંટ્રોલ કરી બ્રહ્મચારી બનીએ તો સમાજ ઊંચા સ્થાને બેસાડે. આમ ગલત ધારણાઓ પર અનર્થના પડ ચડતા ગયા અને એક સુંદર શબ્દનો અર્થ જ બદલાઈ ગયો. બ્રહ્મચર્ય એટલે સેક્સ બંધ એવું પ્રચલિત થઈ ગયું.

કૃષ્ણને બ્રહ્મચારી કહીને કેટલાક બુદ્ધિશાળી લોકોએ આ અનર્થ રોકવા પ્રયત્ન કર્યો પણ બહુ મોડું થઈ ચૂક્યું હતું. સેક્સ સપ્રેસ્ડ સમાજ રાતોરાત પેદા નથી થઈ જતો. હજારો વર્ષની ગલત ધારણાઓ પેઢી દર પેઢી ઊતરતી જાય છે. ત્યારે બસમાં બાજુમાં બેઠેલી સ્ત્રીના નિર્જીવ કપડાનો સ્પર્શ પણ માનસિક બળાત્કારનું કારણ બનતો હોય છે, ઉત્તેજનાનું કારણ બનતો હોય છે. પછી અદબ વાળી હાથ ગતિ કરવા માંડતા હોય છે. સંદેશ કે ગુજરાત સમાચાર પહોળું કરીને વાંચવાનો ડોળ કરીને છાપાની આડમાં પણ હાથ ગતિ કરવા લાગતા હોય છે. બસને લાગતી હળવી બ્રેક મજાનો મોકો પૂરો પાડતી હોય છે. ભીડનો લાભ લઈ બિપાશા બસુના સ્તન પર હાથ ફેરવાય જતો હોય છે.

આવી ગલત ધારણાઓથી ઘણા બધા સારા ચિંતકો, મહાત્માઓ પણ મુક્ત રહી શક્યા નથી. ગાંધીજી એનું ઉત્તમ ઉદાહરણ હતા. ગાંધીજી પાછળ ચાલતી એક આખી પેઢી આ સડેલી માન્યતા દિમાગમાં લઈને ફરતી હતી અને સમાજને ઓર સેક્સ સપ્રેસ્ડ બનાવતી ગઈ..કિશોરલાલ મશરૂવાળા એવી શેતરંજી ઉપર બેસતા નહિ જેના બીજે દૂરના ખૂણે સ્ત્રી બેઠી હોય. સ્ત્રીનો કરંટ વાયા શેતરંજી પણ લાગી જાય? કપડું તો અવાહક છે યાર?? ગાંધીજી પરણેલા અંતેવાસીઓને ફરજિયાત બ્રહ્મચર્ય પળાવતા..મૂર્ખામીની હદ તો એટલે સુધી હતી કે બ્રહ્મચર્યનું વ્રત લેવડાવી પછી પરણવાની છૂટ આપતા.

બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો એવા અર્થમાં ભલભલાં મહાત્માઓ ફસાયેલા હતા. આ અનર્થે ભારતને બહુ મોટું નુકશાન કરેલું છે. અને હજુ પણ કરે જ જાય છે. હવે ઘણા નવા સંપ્રદાયોમાં માનનારા ઘેટાઓ એમના મૂરખ પ્રમુખોની બીમાર વાતોમાં આવી જાય છે કે સ્ત્રીઓના મુખ ના જોવાય. સ્ત્રીઓ માટે આનાથી મોટી અવહેલના બીજી કઈ હોય? આનાથી મોટી અપમાનજનક વાત કઈ હોય? સમાજને ઓર સેક્સ સપ્રેસ્ડ બનાવવાનું એક ઓર ગતકડું..બાવાના બુદ્ધિ વગરના મગજમાં તુક્કા આવે અને ઘેટા સમાજ એને પકડી લેતા હોય છે. પણ ભારતમાં આવા લોકો પૂજાય છે. સેક્સ સપ્રેસ્ડ સમાજ આવા લોકોની જોરશોરથી પૂજા કરવાનો જ છે કે ભાઈ અમે સેક્સને તાબે થઈ જઈએ છીએ જુઓ આ મહાત્માઓ કેવાં મહાન છે? ખાનગીમાં આ મહાત્માઓ શું કરતા હોય કોને ખબર?

દ્રૌપદીની તાર્કિક બુમોનાં જવાબ આ સમાજે આપ્યા નથી. સીતાના મુક ચિત્કાર આ સમાજે સાંભળ્યા નથી, ખુદ એના પતિએ સાંભળ્યા નહોતા. એમાં સીતા ધરતીમાં સમાઈ ગઈ( સુસાઈડ)..અહલ્યા ઇન્દ્રની નાલાયકી અને ગૌતમની અન્યાયી રસમને લીધે પથ્થર જેવી બની ગઈ.. છેતરામણી ઇન્દ્રે કરી સજા એક સ્ત્રીને પડી.. કરુણતા એ જુઓ કે અહલ્યાનો ઉદ્ધાર કરનાર(રામ) એની ખુદની પત્નીનો ઉદ્ધાર ના કરી શક્યા. મમતાની ફરિયાદ આ સમાજે સાંભળી નથી. અહલ્યાની વેદના આ સમાજે જાણી નથી. બુમો પાડ્યા વગર આ સમાજ સાંભળે એવો છે ખરો? સદીઓથી સ્ત્રીઓના હક બાબતે સુતો આ સમાજ ધમાલ કર્યા વગર સંભાળે છે ખરો? કહેવાતા સતયુગમાં મીડિયા હતું નહિ ત્યારે સ્ત્રીઓની બુમો કોણ સંભાળે?

આજનો કલિયુગ સારો કે આજે તો સોશિયલ વેબ સાઈટો છે, મીડિયા છે. ઘણા ચમ્પુઓ કહેતા હોય છે છાના રહો. સારી ભાષામાં કહેતા હોય છે આમ સંવેદનાઓ ના ઉઘરાવો, પુરુષો પ્રત્યે ઘૃણા ફેલાવો છો. છાનું રાખો, લોકો જાણી જાય, દુનિયા જાણી જાય. બળાત્કાર થાય એનો વાંધો નહિ દુનિયા જાણી જાય એનો વાંધો. ગુરુ બૃહસ્પતિએ ભાઈની ગર્ભવતી પત્ની મમતા પર બળાત્કાર કરેલો, મમતાએ વિરોધ કર્યો તો દેવતાઓએ મમતાને ગાળો દીધેલી..આજે પણ આવા દેવતાઓ સમાજમાં હાજર છે જ. આજના ગ્લોબલ મીડિયાના જમાનામાં કેટલું છાનું રાખશો? અમેરિકામાં એક હત્યા થાય તો ભારતમાં તરત લોકોને ખબર પડી જાય છે. ગંગા દુષિત છે આખી દુનિયા જાણી ગઈ છે તો શરમ આવે છે તો ગંગાને દુષિત કહેનારને ભાંડયા વગર એને શુદ્ધ કરો ને?

એક હરામી મીનીસ્ટરના બદમાશ છોકરાએ ત્રણસો નપુંસક લોકોની હાજરીમાં જેસીકાને ગોળી મારી દીધી. ત્રણસો નજરે જોનારા હોવા છતાં એક પણ સાક્ષી મળતો નહોતો..મીડિયા ઘણીવાર સારું કામ કરતું હોય છે. મીડીયાએ આ વાત એટલી બધી ચગાવી કે છેવટે દર દર ભટકતી જેસિકાની નાની બહેનની ન્યાય માટેની દોડધામ પૂરી થઈ..હરિયાણાના પોલીસ વડાને કોણ હાથ લગાવી શકે? રુચિકા રોળાઈ ગઈ. છેવટે મીડીયાએ બુમો પાડી ત્યારે પોલીસવડાને કસ્ટડીમાં લીધા. ઈન્ટરનેટના જમાનામાં શું છૂપું રહેવાનું છે?

દિલ્હી બળાત્કાર કેસમાં આટલી બધી બુમો પડી ત્યારે ગૃહપ્રધાનને એમની દીકરી યાદ આવી ગઈ, જાહેરમાં બોલ્યા કે મારે પણ દીકરીઓ છે મને પણ ખરાબ લાગે છે. બાકી ખૂણે બેઠાં બેઠાં હસતા હોત… હદ તો એ થઈ ગઈ કે નરાધમોએ બળાત્કાર કર્યા પછી પેલી છોકરીની યોનીમાં સળીયો ઘુસાડી પાશવી આનંદ માણ્યો. હવે તે ભવિષ્યમાં ક્યારેય માતા નહિ બની શકે. એનું ગર્ભાશય જ ફાડી નાખ્યું. એના આંતરડામાં કાયમી ઈજા થઇ ગઈ. છતાં સંવેદનહીન ચમ્પુઓ કહે છે છાનું રાખો.ગુપ્ત રાખવાની વૃત્તિ અને આબરૂ જાય છે તેવી માનસિકતાએ લાખો બાળકો અને સ્ત્રીઓ ગુપચુપ બળાત્કાર સહન કરે જતા હશે કોણ જાણે?

ભારતનો સમાજ સેક્સ સપ્રેસ્ડ છે તો પશ્ચિમનો સમાજ સેક્સ સ્વછંદ છે. સત્ય અંતિમ છેડાઓ પર હોતું નથી વચમાં ક્યાંક હોય છે. સત્ય બ્લેક એન્ડ વ્હાઈટમાં નહિ ગ્રે શેડ્સમાં ક્યાંક વસેલું હોય છે. જાતીય શિક્ષણની વાતો કરતા સંસ્કારીઓના ભવા ઊંચા ચડી જતા હોય છે. જાતીય શિક્ષણથી સમાજ સ્વછંદ બની જશે તેવી ધારણા જ ખોટી છે, ઉલટાની સેક્સ વિશેની સમજ વધશે. પશ્ચિમમાં પ્રવર્તતી સ્વછંદતાના બીજા અનેક કારણો હોઈ શકે, જાતીય શિક્ષણ નહિ. અમેરિકન ઓર્થોડોક્સ સમાજ તો વળી ભારતની ખાપ પંચાયતોને શરમાવે તેવો છે.

ખેતીની શરૂઆત થઈને પુરુષનું આધિપત્ય શરુ થયું. ભુવનેશ્વરીની જગ્યા બ્રહ્માએ પડાવી લીધી. મહાકાળીને પદચ્યુત કરીને શંકરને ગાદી મળી ગઈ. મહાલક્ષ્મી વિષ્ણુપ્રિયા તો ઠીક વિષ્ણુના પગ દબાવતી દાસી બની ગઈ. માતૃપ્રધાન સમાજ પુરુષપ્રધાન બની ગયા અને સ્ત્રીઓને વસ્તુ સમજવાની શરૂઆત થઈ ગઈ. પત્ની એટલે દાસી. બ્રહ્મચર્યના ગલત અર્થની ધારણામાં વિશ્વાસ ધરાવતા મહાપુરુષ રામકૃષ્ણ પરમહંસે લગ્ન કર્યા ત્યારે માં શરદામણીદેવી ફક્ત ૧૨ વર્ષના હતા. બાર વર્ષની છોકરીને શું સમજ હોય? કોઈએ રામકૃષ્ણને પૂછ્યું કે તમે બ્રહ્મચર્યનું (સેક્સ ના કરવો) વ્રત લઈને બેઠાં છો તો પછી લગ્ન શું કામ કર્યા? એમનો જવાબ હતો કામ કરવા સેવા કરવા કોઈએ જોઈએ ને? Thakur you too?

હૃદયનાં ભાગીને વિખેરાયેલા ટુકડાઓની વચ્ચે હિંમત રહેલી છે.

imagesCAVE1ROJ

હૃદયનાં ભાગીને વિખેરાયેલા ટુકડાઓની વચ્ચે હિંમત રહેલી છે.

જીવનપથ કોઈનો સરળ હોતો નથી. આપણે ધારીએ તેવું સરળ જીવન હોતું નથી. અનેક ચડાવ ઉતાર જીંદગીમાં દરેકને આવતા હોય છે. અમીર હોય કે ગરીબ કોઈને પણ જીંદગી સીધી રીતે જીવવા દે તે વાતમાં માલ નથી. એવા અનેક પ્રસંગે આપણે ભાંગી પડતા હોઈએ છીએ. આપણે પોતાની જાતને અસહાય અનુભવતા હોઈએ છીએ. ભાગીને ભૂકો થઈ જતા હોઈએ છીએ. ટુકડાઓમાં વિખેરાઈ જતા હોઈએ છીએ. બસ આ ટુકડાઓ સાથે તમે શું કરો છો તે મહત્વનું છે. કોઈ પરીક્ષામાં નાપાસ થતું હોય છે, કોઈને એના પ્રેમીજન છોડીને જતા રહેતા હોય છે, લાખો માબાપ એમના સંતાનોને એક સરખો પ્રેમ આપતા હોય છે પણ એવા હજારો માબાપ હોય છે જેમના માટે દરેક સંતાન સરખો પ્રેમ આપવા લાયક હોતું નથી, એવી લાખો માતાઓ હોય છે તેમના માટે દીકરો વધુ વહાલો હોય છે, જ્યારે એવી હજારો માતાઓ હોય છે જેઓ માટે દીકરા દીકરી વચ્ચે કોઈ ફરક હોતો નથી. જેને દિલોજાથી પ્રેમ કર્યો હોય તે કોઈ સામાન્ય વાતે નારાજ થઈને અમૂલ્ય સંબંધ તોડી નાખતાં હોય છે. કોઈની જોબ છૂટી જાય છે કોઈને ધંધામાં ના ધારેલું નુકશાન આવી જતું હોય છે, કોઈને એના સંતાનો તરફથી પણ દુખ પહોચતું હોય છે. આવા તો અનેક પ્રસંગો આપણને તોડી નાખતા હોય છે. ક્યાંક આપણી પોતાની ભૂલો પણ આપણને તોડી નાખતી હોય છે. દરેક વખતે બીજાનો વાંક ના પણ હોય.

ઘણીવાર આપણી અતિશય લાગણીશીલતા બીજા માટે ઊંધું ધારી લેવા પ્રેરતી હોય છે. આપણે વાતવાતમાં નારાજ થઈ જતા હોઈએ છીએ. આપણી ભૂલોના લીધે શરમજનક અનુભવતા હોઈએ છીએ. શરમ અને અપરાધ ભાવ જાગવો જુદી બાબત છે.  Shame is not guilt. Shame is about you. Guilt is about your behavior. So when you feel shame, you feel you are unworthy. When you feel guilt, it’s because you believe what you do isn’t right. It’s that simple. બહુ પાતળી ભેદરેખા છે બે વચ્ચે. શરમ આવે મતલબ આપણે લાયક નથી કે પોતાની જાતને હલકી કે તિરસ્કારપાત્ર સમજીએ. અપરાધભાવ જાગે મતલબ આપણે  જે કર્યું તે યોગ્ય નહોતું. આપણું વર્તન બરોબર નહોતું, કે આવું કરવા જેવું નહોતું. Vulnerability વલ્નરેબિલિટિ (ભેદ્યતા) મતલબ આપણે સંપૂર્ણ નથી, પરફેક્ટ નથી. કોઈ સંપૂર્ણ હોતું નથી પણ ઘણા પોતાને સંપૂર્ણ સમજવાનો વહેમ રાખતા હોય છે. પોતાને સંપૂર્ણ સમજવું અને સંપૂર્ણ બનવાનો પ્રયત્ન કરવો બંને જુદું છે. ભેદ્યતા, નિર્બળતા હિંમતની પારાશીશી છે. સારા સમાચાર એ છે કે લોકો તમને સંપૂર્ણ જોવા માંગતા હોતા નથી. તેઓ જોડાણ મહેસૂસ કરવા માંગતા હોય છે. અંગત ફિલ કરવા માંગતા હોય છે. જો આપણે પોતાની જાતને પરફેક્ટ, શક્ય સંપૂર્ણ રજૂ કરીએ તો પછી સર્જનાત્મકતા કે નવું કરવાના દ્વાર બંધ કરી દેતા હોઈએ છીએ. અસફલતા મળશે તેવું વિચારી રાઇટ બ્રધર મહેનત ન કરી હોત તો આજે આપણે વિમાનમાં ઊડતા નહોત.

જિંદગી બહુ ટેઢી ખીર છે. અને એમાં જ મજા છે. જીંદગી કોઈ ગિફ્ટ રેપ કરેલું ટીફીન બોક્ષ નથી કે જેમાં કાયમ દિવાળીની મીઠાઈઓ જ ભરેલી હોય.    “The world breaks everyone And afterwards Many are strong at the broken places.” ~ Ernest Hemingway….હૃદયનાં ભાગીને વિખેરાયેલા ટુકડાઓની વચ્ચે હિંમત રહેલી છે. રાજકપૂરે નક્કી અર્નેસ્ટ હેમ્નીગ્વેને વાંચ્યા હોવા જોઈએ. મને મેરા નામ જોકરનું એ દ્ગશ્ય કાયમ યાદ આવતું હોય છે. દિલના જમીન પર પડેલા લાલ ટુકડાઓને રાજકપૂર વાળીને ભેગાં કરતો હોય છે. નિષ્ઠુર જિંદગીના ભોગ બનીને રહેનારા અને એની ચેલેન્જ ઉપાડીને યુદ્ધભૂમિ પર ઊતરનારા વચ્ચે બહુ મોટો ફરક હોય છે. તમે શું બનવા માંગો છો? અસહાય સમજીને રોદણાં રડવાનું કે ભેદ્યતા નિર્બળતા સ્વીકારીને યુદ્ધભૂમિ પર ઊતરવાનું? એકવાત તો નક્કી જ છે કે આ જીવનચક્ર બહાર નીકળવાનો કોઈ રસ્તો છે નહિ સિવાય મૃત્યુ..જિંદગીની લંબાઈ સાથે એની પહોળાઈ અને ઊંડાઈનું પણ મહત્વ હોય છે. શૌર્ય આપણને એવી જગ્યાએ લઈ જઈ શકે છે જેની કોઈ કલ્પના ના કરી શકે.

હું ત્યાં જવા માંગુ છું. શું તમે પણ???imagesCARJ1GGI

જિંદગીમાં એક વાઘ જોઈએ…

untitled-2

જિંદગીમાં એક વાઘ જોઈએ…

દરેકની જિંદગીમાં ક્યાંક ને ક્યાંક કોઈ વાવાઝોડું આવતું હોય છે, કોઈ ઝંઝાવાત આવતો હોય છે. કોઈ અતિ વહાલું સ્વજન ગુજરી જતા જીવન નૈયા ડૂબી ગઈ હોય એવું લાગતું હોય છે. કોઈ ધંધામાં નુકશાન થતા લાઇફબોટ પોતેજ ડૂબી ગઈ હોય તેવી ક્ષણો આવી જતી હોય છે. તેવા સમયે જીવન નૈયા પર એક વાઘની જરૂરત ઊભી થતી હોય છે. લાઇફબોટનું ઉપલું કવર ખોલીને નીચે જોતા એક વાઘ છુપાયેલો નજરે ચડવો જરૂરી બની જતો હોય છે. વાઘ બહુ ક્રૂર પ્રાણી જરૂર છે, પણ એના મેમલ બ્રેઈનમાં ઓક્સીટોસીન જરૂર સ્ત્રવતા હોય છે. આ વાઘ જ જીવન જીવવાની મહેચ્છા પેદા કરી જતો હોય છે. એક આશા જગાવતો હોય છે. આ વાઘ જીવન આગળ ધપવા પામે તેવું કશુંક કરી જતો હોય છે. આ વાઘ એક સાહસ પેદા કરી જતો હોય છે. આ વાઘ કોઈ પણ બની શકે, કોઈ પણ હોઈ શકે.

મારા પિતાશ્રી ઓચિંતાં ફક્ત ચાર દિવસ બીમાર રહીને સિવિયર હાર્ટએટેકમાં ગુજરી ગયા ત્યારે મારું પણ વહાણ આ ઝંઝાવાતમાં સાવ ડૂબી ગયેલું. પણ મારી લાઇફબોટમાં થોડા વાઘ હતા. સૌથી મોટો વાઘ મારા કાયમ બીમાર રહેતા માતુશ્રી હતા. મારી શ્રીમતી હતી, મારા બે બાળકો પણ હતા. થોડા આઘાત પછી મારું ફોકસ મારા કાયમ બીમાર રહેતા માતુશ્રીની ચિંતા કરવામાં રહેવા લાગ્યું. હું મારી લાગણીઓમાં ડૂબી મરવાને બદલે પત્નીનાં સહકાર વડે માતાની સારસંભાળમાં પડી ગયો. મારા પિતા મારા માટે સર્વસ્વ હતા પણ એમના ગયા પછી બીજા પ્રત્યેના ધ્યાને મને આગળ ધપતો રાખ્યો. લગભગ દરેકના જીવનમાં આવી આકરી ક્ષણો આવતી જ હોય છે ત્યારે કોઈ વાઘ આગળ ધપવામાં જરૂર મદદ કરતો હોય છે.

જીવનની અદ્ભુત નાવમાં મુસાફરી કરતા બચપણમાં થોડા ખરાબ અનુભવો પણ થઈ જતા હોય છે. ઝંઝાવાતો આવી જતા હોય છે અને લોકો એને સહન પણ કરી જતા હોય છે. છતાં આશા રાખું કે દરેકની જીવન નૈયા પર એક વાઘ કુદરતી ભેટ તરીકે હોય. આપણી પોતાની લાગણીઓ, ભાવનાઓ અને જરૂરિયાતો સિવાય પણ આપણું ધ્યાન કોઈના પ્રત્યે હોય તે પણ જરૂરી છે. Without focus, we become self-absorbed, passive, and confused.  આપણે મુશ્કેલીઓનાં લીધે નાશ પામી જતા નથી પણ આપણું ધ્યાન કોઈના પ્રત્યે હોય નહિ તો જરૂર ખતમ થઈ જવાના.

પૂર્વ અને પશ્ચિમ પાસે સુખને જોવાની દ્ગષ્ટિ જુદી જુદી છે. પશ્ચિમનાં લોકો  જીવન પ્રવાહને સર્જીને સુખ પામે છે પૂર્વનાં લોકો જીવન પ્રવાહને સમજીને સુખ માને છે. પશ્ચિમ પાસે સર્જનાત્મકતા છે, પૂર્વ પાસે સમજ છે, જીવન પ્રવાહને સમજવાનું ડહાપણ છે. કેન્દ્રિત મન એક સાધન બની જાય છે. કોઈ બીજા પ્રત્યે કેન્દ્રિત મન હોય તો જીવવા માટે એક બળ મળે છે, એક હેતુ મળે છે, અકારણ જોખમ લેવાનું ટાળવાની આદત પડે છે. જ્યારે એક લાઇફ પાર્ટનર જિંદગીમાં હોય તો તમે વધારે જીવી શકો છો. થોડા બાળકો હોય, ભલે મુશ્કેલીઓ સર્જાતા હોય પણ તમે ઓર વધારે જીવી શકો છો. આપણે કોઈ વૃદ્ધ ગુજરી જાય તો એમના સંબંધીઓને કહેતા સાંભળ્યા હશે કે દાદા કે દાદી ચાર પેઢી જોઇને ગયા. પુત્ર પૌત્રાદી લાંબી જીંદગી માટે ચોક્કસ કારણભૂત બનતાં હોય છે. અરે એક કૂતરું જીવનમાં આવી ગયું હોય તો પણ લોકો વધારે જીવતા હોય છે. એટલે પશ્ચિમના એકલવાયા લોકો કૂતરા પાળતા હોય છે. This is in part so because focusing on other creatures causes us to produce more oxytocin, a calming hormone in both men and women.

ઘરના બારણે કોઈ પ્રિયજનની રાહ જોવી ડિપ્રેશન ઓછું કરનાર બની જતું હોય છે. આપણા કમભાગ્ય માટે કે વિપદા વિષે બીજાને દોષ દેવો કે સંજોગોને દોષ દેવો આપણને ઇનએક્ટીવ બનાવી દેવા પૂરતું છે. બીજા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવામાં ઘણી એનર્જી વપરાતી હોય છે માટે આપણે તેનાથી ઘણીવાર બચતા હોઈએ છીએ પણ કોઈના પ્રત્યે ધ્યાન ના આપવું વળી વધુ મોંઘું પડી જતું હોય છે.

ઘણીવખત આ વાઘ અથવા ફોકલ પોઇન્ટ આપણું મન ખુદ બની શકે છે. મેડીટેશનની વાતો બધી આજ છે. આપણે આપણા મન પર ધ્યાન કેન્દ્રિત કરીએ, મેડીટેશન કરીએ, વાસ્તવિકતાના આયનામાં જોઈએ ત્યારે આપણા વિચારો અને લાગણીઓને જોઈ શકીએ છીએ એમાં ખોવાયા વગર. ખોવાયા તો ગિયા..ઠાકુર તો ગિયા જેવું..અહાહાહા ! મેડીટેશન કરવાથી બ્રેઈન પર થતા અસાધારણ પરિણામો ન્યુરોસાયન્સ પરના અસંખ્ય અભ્યાસ દ્વારા જાણવામાં આવ્યા છે, (Buddha’s Brain– by Rick Hanson). થોડું મિનિટનું ધ્યાન વધુ આનંદ અને આંતરિક શાંતિનો અનુભવ કરાવે છે.

એક ૫૫ વર્ષની સ્પેનીશ વિધવા મહિલાએ મને એકવાર કહેલું કે મારો હસબન્ડ મરી ગયે છ મહિના થયા છે, મને એના વગર ખૂબ તકલીફ થાય છે પણ આખી જીંદગી હું એની પાછળ રડી ના શકું. આપણે ભલે ભૌતિકવાદી કહીને આ લોકોને વખોડીએ પણ એની મેન્ટલી રીટાર્ડેડ છોકરી માટે એ બધા દુખ ભૂલીને કામે વળી ગયેલી મેં જોએલી છે. ડૂબતી જીવન નૌકામાં એક વાઘ શોધવા માટે જરૂર છે ફક્ત ખુલ્લી આંખની. શોધી કાઢો એને જે તમારામાંથી શ્રેષ્ઠને બહાર કાઢે. એની કાળજી રાખો એનું ધ્યાન રાખો..તોફાનો આવવાથી જીંદગી કાઈ અટકી જતી નથી.તોફાનો જિંદગીના ભાગરૂપ જ છે.

લંડનના પાંચ પાંચ પબ્લિશિંગ કંપનીઓ તરફથી રીજેક્ટ થયા બાદ   Knopf Canada દ્વારા ૨૦૦૧મા પબ્લીશ થયેલી, Man Booker Prize for Fiction સાથે બીજા અનેક એવૉર્ડ જીતી ગયેલી,  Yann Martel લિખિત ફૅન્ટસી એડવેન્ચર નૉવેલ   Life of Pi  પરથી આજ નામની એક જબરદસ્ત ફિલ્મ બની ચૂકી છે. સમુદ્રી તોફાનમાં પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા અને લાઇફ બોટ પર સાથીદાર તરીકે ભયાનક રૉયલ બેન્ગોલ ટાઈગર સાથે ૨૨૭ દિવસ પછી સર્વાઇવ થઈ જતા એક ભારતીય છોકરાની વાત લઈને આવેલું આ મુવી સહુએ જોવા જેવું છે.

આ લેખ કુદરતી કે માનવસર્જિત આફતોમાં  પોતાના અંગત સ્વજનોને ગુમાવી સર્વસ્વ ગુમાવ્યાની અનુભૂતિ કરતા તથા પોતાના પ્રેમીજનોને સામાજિક પરમ્પરાઓ અથવા બીજા સંજોગોવશાત ગુમાવીને હતાશાની લાગણી અનુભવતા યુવાન યુવતીઓને સમર્પિત…

બે પગ વચ્ચે અટવાયેલું બ્રહ્મચર્ય અને ચારિત્ર્ય. Hard Truths About Human Nature.

બે પગ વચ્ચે અટવાયેલું બ્રહ્મચર્ય અને ચારિત્ર્ય. Hard Truths About Human Nature.

ભારતના પૌરાણિક કાલના બે મહાન ઋષિઓ કયા? દરેકના મનમાં પહેલું નામ વસિષ્ઠ તો આવી જ જવાનું. બીજામાં કોઈ વિશ્વામિત્ર, કણ્વ, ગૌતમ, કપિલ કે યાજ્ઞવલ્ક્યનું નામ લઈ શકે. પણ એક ઋષિ છે જેમણે પહેલીવાર વિંધ્યાચલ ઓળંગ્યો હતો તે હતા અગત્સ્ય ઋષિ. આ વસિષ્ઠ અને અગત્સ્ય બંને ભાઈઓ હતા. એક જ માની કુખે અવતરેલા, પણ બંનેના પિતા જુદા જુદા હતા. આવા મહાન ગણાતા જ્ઞાની ઋષિઓની માતાને આજના ભારતની માન્યતાઓ મુજબ ચારિત્રહીન કહેવાય ખરી?

ભારતમાં ચારિત્રની પરિભાષા બે પગ વચ્ચે અટકી ગઈ છે, બે પગ વચ્ચેના થોડા સ્નાયુઓમાં સમાઈ ગઈ છે.

સત્ય બોલવું, સમાજે ઘડેલા નીતિનિયમો મુજબ નૈતિક જીવન જીવવું, ભ્રષ્ટાચાર ના કરવો, ચોરી ના કરવી, વણ જોઇતી હિંસા ના કરવી આવું અને બીજું ઘણુબધું ચારિત્ર્યની પરિભાષામાં આવી જાય. પણ આ બધું આપણે ખૂબ કરતા હોઈએ છીએ. આપણી ચારિત્ર્યની વ્યાખ્યા ખૂબ સાંકડી બની ગઈ છે કે બનાવવામાં આવી છે. એક તો લગ્ન કર્યા ના હોય તો સેક્સ ના કરી શકો. અને લગ્ન કર્યા હોય તો પતિપત્ની સિવાયના બીજા પાત્ર સાથે સેક્સ ના કરી શકો. બસ આ બેમાં આપણી ચારિત્ર્યની પરિભાષા સમાઈ ગઈ છે. અને એમાય જો પતિપત્ની બ્રહ્મચર્યના વ્રત લઈલે તો ખલાસ મહાન ચારિત્રવાન ગણાવાના. ગાંધીજીએ આવા વ્રત પતિપત્નીને લેવડાવી કેટલાયના જીવન રોળી નાખેલા. અજ્ઞાનતાની હદ તો એ સુધી કે સેક્સ નહિ કરવાનું વ્રત લેવડાવીને પણ અમુકના લગ્ન કરાવેલા. બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો અને ચારિત્ર્ય એટલે પતિપત્ની સિવાય સેક્સ ના કરવો આવી પરિભાષા ધીમે ધીમે અસ્તિત્વમાં આવી હશે.

જિનેટીકલી માનવજાત પોલીગમસ છે. બહુગામી છે. એક પુરુષ અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખે અને એક સ્ત્રી અનેક પુરુષો સાથે. પોતાની કોપી પાછળ મૂકતાં જવાની ભાવના જિન્સમાં હોય છે. સર્વાઈવલ અને રીપ્રોડક્શન સક્સેસ મહત્વની ઉત્ક્રાંતિ માટે બાબતો છે. પુરુષ એના જિન્સ જેટલા દૂર દૂર ફેલાય તે માટે પ્રયત્નશીલ હોય છે. અને મધર નેચરને બળવાન જિન્સ ફેલાય તેની ખેવના હોય છે. પુરુષ પાસે અબજો સ્પર્મ હોય છે, સ્ત્રી પાસે લીમીટેડ અંડ જથ્થો હોય છે. સ્ત્રીના માથે જિન્સ ઉછેરવાની મહત્તમ જવાબદારી મધર નેચરે નાખેલી છે. લગભગ દરેક મેમલ્સમાં સ્ત્રી જ બાળકને ઉછેરવાની જવાબદારી સંભાળે છે. નર એના સ્પર્મદાન કરીને રવાના થઈ જતો હોય છે. બહુ થોડા, આંગળીને વેંઢે ગણી શકાય તેટલા મેમલ્સમાં નર એમાં મદદ કરતો હોય છે. જિન્સ ઉછેરવામાં નર મદદ કરતો હોય માદાને એમાં Owl monkey અને માનવજાત શ્રેષ્ઠ ઉદાહરણ છે. માટે સ્ત્રીને એક તો બળવાન જિન્સ જોઈએ અને તે જિન્સ ઉછેરવા હેલ્પફુલ થાય તેવો પુષ્કળ રીસોર્સીસ ધરાવતો હાઈ સ્ટેટ્સ ધરાવતો પુરુષ જોઈએ. બળવાન હાઈ સ્ટેટ્સ ધરાવતા પુરુષો અનેક સ્ત્રીઓ રાખતા અને સ્ત્રીઓ પણ એમના હરમમાં સામેલ થવામાં ગૌરવ સમજતી.

આમ બધાને સ્ત્રી મળે નહિ. તો થોડા ડાહ્યાં અને મજબૂર ગણો તો મજબૂર કે સમજદાર ગણો એવા પુરુષોએ સ્વેચ્છાએ રીપ્રોડક્શન સક્સેસ પરથી પોતાનો દાવો ઉઠાવી લીધો. જેથી સમાજમાં કે સમૂહમાં સ્ત્રી માટેની હરીફાઈમાં થતી ગરબડો ઓછી થઈ જાય અને સમૂહ શાંતિ અનુભવી શકે. સનતકુમાર જેવા ઋષિ સમૂહ સ્વેચ્છાએ હરીફાઈમાંથી બહાર નીકળી ગયા. સમાજે પણ આવા પુરુષોને ખૂબ માન આપ્યું. આવા નાનકડા સમૂહો અભ્યાસમાં લાગી ગયા. આ વિશ્વ અને બ્રહ્માંડનાં મૂળિયા ક્યાં છે તે શોધવા સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યા. સતત બ્રહ્મમાં કે બ્રહ્મના ભ્રમમાં વિચરવા લાગ્યા તો કહેવાયા બ્રહ્મચારી. ઘણા પરણેલા અભ્યાસીઓ(ઋષિઓ) પણ સતત બ્રહ્મને વિચારતા તો આ લોકો પણ બ્રહ્મચારી જ કહેવાતા. બ્રહ્મચર્યનો અર્થ સેક્સ ના કરવો તેવો હતો જ નહિ. કૃષ્ણ પણ બ્રહ્મચારી જ કહેવાતા હતા. બ્રહ્મ અને બ્રહ્માંડનો વિચાર કરવાવાળા આઈનસ્ટાઈનોમાં પરણેલા ભેગાં મજબૂર મહાત્મા જેવા કુંવારાના સંખ્યા વધવા લાગી એમાં ધીમે ધીમે બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો આવી પરિભાષા ઘડાવા લાગી. ધીમે ધીમે સાચા અભ્યાસુ આઈનસ્ટાઈનો ઘટવા લાગ્યા અને સ્ત્રી મળવાની શક્યતા ના હોય તેવા ચાલો જંગલમાં તપ કરીશું સ્વર્ગમાં સોળ વરસથી કદી મોટી ના થતી અપ્સરાઓ ભોગવીશું વિચારીને ભાગવા લાગ્યા, એમાં થોડા આલસ્ય શિરોમણીઓ પણ ઉમેરાયા. સેક્સ કરવા ના મળે તેવી ટોળકી આમાં વધવા લાગી એટલે બ્રહ્મચર્યની આખી સમજ જ બદલાઈ ગઈ. બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો એવું પ્રસ્થાપિત થઈ ગયું. આજના લગભગ તમામ ધાર્મિક સંપ્રદાયો અને મહાત્માઓ આવી સુફીયાણી અવૈજ્ઞાનિક સલાહો આપતા હોય છે કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ, એમાં મહાત્મા ગાંધીજી પણ આવી ગયા. બ્રહ્માકુમારીવાળા વળી પતિપત્નીને ભાઈબહેનની જેમ જીવવાની સલાહ આપતા હોય છે. આવી અવૈજ્ઞાનિક વાતો માનવાવાળા હજારો કપલ માનસિક સ્ટ્રેસ વેઠતા હોય છે.

પુરુષને પોતાના જિન્સ ઉછેરવાની ફિકર હોય છે જ્યારે સ્ત્રીને પોતાના સાથે બળવાન મજબૂત પુરુષના જિન્સ ઉછેરવાની પડી હોય છે જે એક કુદરતી પ્રેરણા ગણો કે ઈવોલ્યુશનરી ઈમ્પલ્સ ગણો. આમાં સ્ત્રી લગ્નવ્યવસ્થા નહોતી ત્યારે મજબૂત પુરુષ જોડે જોડી બનાવી લેતી. અને જ્યારે ફરી હાજર હોય તેના કરતા મજબૂત જિન્સ દેખાય તો જુના પુરુષને છોડતા વિચાર ના કરતી. બસ આમાં જ ઋષિ વસિષ્ઠની માતાએ બે જુદા જુદા મજબૂત જિન્સ ધરાવતા પુરુષો પાસેથી બે મહાન ઋષિ થઈ શક્યા તેવા બાળકો મેળવ્યા, એક હતા વસિષ્ઠ અને બીજા હતા અગત્સ્ય. માતા કુંતીના પતિદેવ પાંડુ રાજા પાંડુ મતલબ એનીમિયા વડે પીડાતા હતા. યુધીષ્ઠીર, ભીમ અને અર્જુન પાંડુના પુત્રો નહોતા. તેવી રીતે પાંડુની બીજી રાની માદ્રીના પુત્રો સહદેવ અને નકુલ પણ બાયોલોજીકલી  પાંડુના પુત્રો નહોતા. પણ આમાં કશું ખરાબ ગણાતું નહોતું. તે સમયે ચરિત્રની સમજ જુદી હતી. લગ્નવ્યવસ્થા આવી ચૂકી હતી પણ જૂની સમજ ચાલુ હતી કે મજબૂત જિન્સ પતિ સિવાય બીજેથી મળે તો પણ ઉછેરી શકાય તેમાં કશું ખોટું નથી. છતાં પુરુષને ફક્ત પોતાના જિન્સ ઉછેરવાની વધારે પડી હોય છે પારકા નહિ.

સિંહના એક પરિવારનો કબજો તે પરિવારના જુના નેતા સાથે ભારે યુદ્ધ પછી નવો બળવાન સિંહ લઈ લે, તો પહેલું કામ તે પરિવારમાં રહેલા તમામ નાના બચ્ચાઓને મારી નાખવાનું કરશે. લગ્નવ્યવસ્થા પાકે પાયે ઘૂસી ચૂકી હતી. ધીમે ધીમે મનોગમી પ્રસરવા લાગી તેમ તેમ દરેકને સ્ત્રી ઉપલબ્ધ થવા લાગી. કમજોરને પણ પોતાના જિન્સ ઉછેરવાની તક મળવા લાગી. આપણે ત્યાં તો ગાંડાને પણ સ્ત્રી ઉપલબ્ધ મેં જોઈ છે. હવે આ સ્ત્રી મજબૂત જિન્સ શોધવા બીજે દ્ગષ્ટિ દોડાવે તેવી શક્યતાઓ પણ વધવા લાગી. કમજોરને હંમેશા ફિકર રહેવાની કે મારી સ્ત્રી મજબૂત જિન્સની શોધમાં બીજા પુરુષ પાસે તો જતી નહિ હોય ને? આ બધું અનકોન્શિયસલી થતું હોય છે. એક કરતા વધુ પત્નીઓ રાખતા હોય તેમને પણ આવી શંકા જતી જ હોય. તો પરણેલી સ્ત્રી બીજા પુરુષ પાસે મજબૂત જિન્સ  શોધવા જાય તે ખરાબ ગણવાનું પુરુષોએ શરુ કર્યું. પારકા જિન્સ હું શું કામ ઉછેરું?

આમ પતિ સિવાય બીજા પુરુષ સાથે સંસર્ગ કરતી સ્ત્રીને ચારિત્રહીન ગણવાનું શરુ થઈ ગયું. પુરુષોએ સ્ત્રીઓનું પણ બ્રેઈન વોશિંગ કરી નાખ્યું કે બીજા પુરુષ પાસે જવું ચારિત્ર્યહીનતા ગણાય. જેમ જેમ કમજોર લોકો વધતા ગયા તેમ તેમ તેમની સ્ત્રી બીજે જશે તો એવી ફિકર વધવા લાગી, તેમ તેમ ચારિત્ર્ય સેક્સ પૂરતું સીમિત થવા લાગ્યું. કમજોર પ્રાણીઓ તેમની વસ્તી ખૂબ વધારતા હોય છે જેથી સર્વાઈવ થઈ જવાય. તેમ ચારિત્ર્યની વ્યાખ્યા બે પગ વચ્ચે વધુને વધુ સીમિત થતી જાય છે. પરદેશોમાં પણ પરણેલી સ્ત્રી બીજા પુરુષ સાથે જાય તો વ્યભિચાર ગણાય જ છે. તો પછી સ્ત્રીઓ પણ પુરુષોને શું કામ ક્ષમા કરે? પુરુષો બીજી સ્ત્રી પાસે જાય તો તેઓને પણ બેવફા ગણવાનું શરુ થઈ ગયું. સ્ત્રીઓ તો ઘણીવાર ઈવોલ્યુશનરી ઈમ્પલ્સ સહન કરી લેતી હોય છે પણ પુરુષો સહન કરી શકતા નથી. બીલ ક્લીન્ટન કે અર્નોલ્ડ જેવા પકડાઈ જાય છે. વ્યભિચારી ગણાઈ જાય છે.

ચારિત્ર્ય દિમાગમાં હોવું જોઈએ પણ રહ્યું નહિ બે પગ વચ્ચે સ્થિત થઈ ગયું.

જીવન ઝરણું કલકલ વહેતું, દુઃખ શાને મુજમાં વસતું?

images[2] (7)જીવન ઝરણું કલકલ વહેતું, દુઃખ શાને મુજમાં વસતું?

આપણને ઘણીવાર અનુભવ થતા હોય છે કે જેને આપણે ખૂબ પ્રિય ગણાતા હોઈએ છીએ તે જ દુઃખનું કારણ બનતા હોય છે. આપણી લાગણીઓ એમના દ્વારા ઘવાતી હોય છે. કોઈ સ્વજનનું ઓચિંતું મૃત્યુ અથવા પ્રિયજનની બેવફાઈ કે જુદાઈ આપણને વિશ્વાસઘાતની લાગણીમાં ફેંકી દે છે. આવું અનેક વાર બનતા આપણે લોકોમાં વિશ્વાસ મૂકતા બંધ પણ થઈ જઈએ છીએ. મેં ઘણા સંબંધીઓ જોયા છે જેઓ પોતાના અંગત લોકો પર અને ઘણીવાર તો પોતાના પેટના જણ્યા પર પણ વિશ્વાસ મૂકી શકતા નથી. લગભગ અવિશ્વાસુ પ્રકૃતિના અનેક માણસો આપણને લાઇફમાં જોવા મળતા હોય છે. આ વિશ્વાસ સાથેના સ્ટ્રગલ અને દુઃખની પાછળનું એક મૂળ કારણ તાદાત્મ્ય-અટૅચમન્ટ છે.

Don’t Fight Life, Flow with it.

જીવન એક વહેતી  નદી છે, કલકલ કરતું વહેતું ઝરણું છે. મોટાભાગે તો આપણે આ નદીના પ્રવાહમાં તરતા હોઈએ છીએ, વહેતા હોઈએ છીએ. અને વહેવાની મજા માણતાં હોઈએ છીએ. પણ ક્યારેક આ મુસાફરીમાં કોઈ ચોક્કસ પૉઇન્ટ પર તાદાત્મ્ય સાધીને ઉભા થઈ જઈએ છીએ અને જરા પણ ખસવાનો ઇનકાર કરી દઈએ છીએ. કુદરતી પ્રવાહમાં વહેવાનો ઇનકાર કરીને લડાઈ શરુ કરી દઈએ છીએ. અહીં દુઃખની શરૂઆત થઈ જાય છે. જીવન લડવા કરતા એની સાથે વહેવામાં દુઃખની માત્રા ઓછી થતી જાય છે આવું મહત્વનું લેસન શીખવે છે મેડિટેશન.

જ્યારે તમારી આંખો બંધ હોય, કુદરતી શ્વાસ ઉચ્છવાસ ચાલતા હોય, કોઈ આસ્તિક હોય તો મંત્ર બોલતા હોય કે પ્રાર્થના કરતા હોય, બુદ્ધ જેવા કોઈ કહેવાતા નાસ્તિક હોય તો ફક્ત આ પ્રક્રિયાને જોતા હોય, વિચારો આવતા અને જતા હોય છે….સહેલું લાગે છે પણ અઘરું છે. ઘણીવાર આપણે આવેલા વિચારોની વેબમાં ગૂંથાઈ જઈએ છીએ. વિચારોની વેબસાઇટ ગજબની માયા છે. ક્યારે અંદર સામેલ થઈ જઈએ યાદ પણ ના રહે. અને ઘણીવાર પાછાં સચેત થઈને નિરીક્ષણ કરવા લાગતા હોઈએ છીએ. પણ બંને વખતે આપણે શ્વાસોચ્છ્શ્વાસ  પર પાછાં આવી જતા હોઈએ ત્યારે લાંબા સમયે ભાન થાય છે વર્તમાન ક્ષણનું, ઑલ ઇઝ વેલ..

જ્યારે આપણે કોઈ વ્યક્તિ, વિચાર, કે પછી વસ્તુ સાથે મજબૂત રીતે જોડાઈ જઈએ છીએ ત્યારે આપણે ઇચ્છાઓ વધી જાય છે, આપણે તે ક્ષણને વધુ લંબાવા માંગતા હોઈએ છીએ કે પછી ડરવા લાગીએ છીએ. આ ઇચ્છા અને ભય દુઃખનું કારણ બનતી  હોય છે. દાખલા તરીકે આપણે કોઈ પ્રિયજન સાથે બેઠાં હોઈએ કે જેની સાથે આપણે પ્રેમમાં હોઈએ, અને એકબીજાનું સાંનિધ્ય માનતા હોઈએ ત્યારે ઇચ્છા જાગે કે આનો અંત આવે જ નહિ.  કઈ રીતે આ ક્ષણોને લંબાવી દઉં? મેડિટેશન વર્તમાનની ક્ષણોમાં ગૂંથાઈ જવા મદદ કરે છે. આપણે પ્રિયજન બાજુમાં હોય છતાં ભૂત કે ભવિષ્યમાં ઊતરી જતા હોઈએ છીએ. આપણે જાણતા હોઈએ છીએ કે આ ક્ષણો કાયમ ટકવાની નથી છતાં એમાંથી સંપૂર્ણ વર્તમાનનો આનંદ માનવાનું મેડિટેશન શીખવે છે. જીવન સદાય વહેતું છે.

હવે જ્યારે કોઈ દુઃખ પહોચાડે ત્યારે પણ દુઃખની લાગણીઓ પણ વહેતા ઝરણામાં વહી જવાની છે, પણ આપણે એની સાથે તાદાત્મ્ય બાંધી લઈએ જોડાઈ જઈએ તો આ દુઃખની ઘડીઓ  લંબાવી દઈએ છીએ.  બસ આ દુઃખની ક્ષણો સાથે મજબૂતાઈથી ના જોડાઈ જઈએ તો દુઃખની લાગણી પણ ઓછી થતી જવાની. પણ જે બન્યું છે એની સાથે જોડાયેલા રહીએ તો દુઃખ વધતું જવાનું અને આપણે ડરના માર્યા જેતે વ્યક્તિ વિષે અવિશ્વાસ વધારતા જવાના. લાંબા ગાળે આપણે કોઈના પર વિશ્વાસ રાખી શકતા નથી.

જો આપણે નિયમિત આ શ્વાસ ઉચ્છવાસ પ્રત્યે જાગૃત રહેવાનું ધ્યાન નિયમિત કરીએ તો આપણે જોઈ શકીએ કે વિચારો સતત આવતાજતા હોય છે. કોઈવાર ગ્રેટ અનુભવ થતો હોય અને કોઈવાર ઉદાસ. આમ શીખવા મળે કે લોકો પણ કોઈવાર પ્રેમ કરતા હોય છે અને કોઈવાર નફરત. જે પણ સારી કે ખરાબ ક્ષણો છે તે ઊભી રહેવાની નથી. જો સારી કે ખરાબ પળો  ટકવાની નથી તો પેલો ભય પણ શું કામ રાખવાનો? કોઈ ચોક્કસ અનુભવ પ્રત્યે તાદાત્મ્ય સાધ્યા વગર  જીવનમાં ખુલ્લાપણું રાખવાનું મેડિટેશન શીખવે છે. ધારોકે કોઈએ આપણને ઈજા કરી કે ઇમોશનલ હર્ટ કર્યું, તો આપણે તે દુઃખદાયી યાદોમાં રત રહેવાને બદલે એમાંથી શીખી શકીએ કે આમ કેમ બન્યું? આપણા ખુલ્લાપણા કે અવેરનેસ વડે આપણી જાતને પૂછી શકીએ કે આ વ્યક્તિ આપણને હર્ટ  કરે તે પહેલા એનો કોઈ સંકેત મળેલો ખરો?

અવેરનેસ વડે આપણે આપના ભૂતકાળના અનુભવો વડે શીખી શકીએ અને દુઃખ નિવારણ તરફ પણ વધી શકીએ. અવેરનેસ વડે ભય વગર હિંમતથી આપણે જે બનવાનું છે તેનો સામનો કરી શકીએ. જીવનમાં કંઈક નવું આવે તો સાથે એના રિસ્ક પણ લેતું આવે. એનો સ્વીકાર કરવાની અવેરનેસ જોઈએ જ.

મેડિટેશન કોઈ દુઃખ નહિ આપે તેવી વેક્સિન તો છે નહિ. દુઃખદાયી અનુભવો પણ જીવનનો એક ભાગ જ છે. મેડિટેશન વડે આપણે પોતાની જાતની કેર કરતા અને પોતાની જાતને ચાહતા શીખી જઈએ છીએ. આપણે જેવા છીએ તેવા આપણી જાતને ચાહતા થઈએ તો બીજાને પણ પ્રેમ કરતા વધુ સારી રીતે થઈ શકીએ.

મેડીટેશન શીખવે છે કે સુખી થવાની તમામ શક્યતાઓ આપણી અંદર જ મોજૂદ છે. જ્યારે અપને વર્તમાનમાં જીવતા હોઈએ ત્યારે ઑલ ઇઝ વેલનો બેલ વાગતો હોય છે. આમ આપણે ભય અને ઇચ્છાઓ સાથે તાદાત્મ્ય વધારવાનું ઓછું કરવાનું  ધ્યાન વડે શીખી શકીએ છીએ.

એક નદીમાં તમે બીજી વાર પગ મૂકી શકતા નથી. જીવન પણ એક વહેતી નદી જેવું છે જે સતત બદલાયા કરતું હોય છે. મેડીટેશન આ નદીમાં વચ્ચે આવતી તમામ વસ્તુઓનો સ્વીકાર શીખવે છે. આપણે વિશ્વાસ મૂકતા શીખી જઈએ છીએ કે કાયમ બધું સારું થાય તેવું જરૂરી નથી, પણ ગમે તે થાય હું તો હંમેશા ખુશીમાં જ રહીશ. મેડીટેશન જીવન ઝરણામાં વહેતા શીખવે છે, એમાંથી આનંદ મેળવતા શીખવે છે. અને વર્તમાનમાં શ્વાસ સાથે જીવતા શીખવે છે.

 

 

જોડે રેજો રાજ-૩ Hard Truths About Human Nature

જોડે રેજો રાજ-૩ Hard Truths About Human Nature.300px-Socrates-Alcibiades[1]

એક નાના બાળકને છોડી માતા જતી રહે તો એને મોટા કરવાની જવાબદારી પિતાના માથે આવી પડે અને પિતા છોડીને જતો રહે તો માતાના માથે તમામ જવાબદારી આવી પડે. આ બધું એકલાં એકલાં કરવું ખૂબ તકલીફ આપે તેવું હોય છે. અને બાળક  મોટું ના થાય તો ઉત્ક્રાંતિનો હેતુ સરે પણ નહિ. બંને જણા એ બાળકમાં ટ્રાન્સ્ફર કરેલા જેનિસ અવર્થે જાય. બેમાંથી એક જણાએ પણ જવાબદારી નિભાવી બાળકને મોટું તો કરવું જ પડે. પણ એમાં બાળકના સર્વાઇવલનો રેટ બહુ ઓછો થઈ જાય. એમાં વળી માનવ બાળક ખૂબ નબળું બીજા પ્રાણીઓના બચ્ચાની સરખામણીએ. આમ ધીમે ધીમે જોડે રહેવાનો સમય વધતો ચાલ્યો. એમાં પાછું બીજું બાળક આવી જાય એટલે પાછું જોડે રહેજો રાજ વધી જવાનું. આમ ધીમે ધીમે લગ્ન વ્યવસ્થાનું સ્વરૂપ ઘડાતું ગયું.

પ્રાચીન ભારતમાં લગ્નવિધિમાં ૧) શિલા અરોહાણમ, ૨) લજ્જા હોમમ્મ, ૩) સપ્તપદી વગેરે મહત્વની વિધિ હતી. તે સમયે પણ દેવતાઓનો ત્રાસ ઓછો નહોતો. આ દેવતાઓ કદાચ સમાજના બહુ મોટા આગેવાનો હોવા જોઈએ. છોકરી જન્મી તો મોટી થાય ત્યારે પહેલો ટેસ્ટ કરવાનો અધિકાર આ ત્રણ દેવતાઓનો રહેતો. આ આર્યમાન, વરુણ અને પુષણ દેવતાઓ બહુ પાવરફુલ હતા. છોકરી ગર્ભ ધારણ કરવા સક્ષમ થાય ત્યાં સુધી આ ત્રણ દેવતાઓની કેદમાં ગણાતી. સમૂહની તમામ માદાઓને ભોગવવાનો પહેલો હક ઍલ્ફા નરનો હોય છે. ઘણા  રાજામહારાજાઓ એમના હરમમાં પુષ્કળ સ્ત્રીઓ ભેગી કરતા.

ચીનમાં રાજા પહેલીવાર એકી સાથે બે સ્ત્રીઓ સાથે પરણે એવો રિવાજ હતો. એટલે જ્યારે વર કન્યાનો હાથ એના પિતા આગળ માંગે તો પિતા કન્યાનો હાથ આપવા તૈયાર તો થઈ જાય પણ પેલાં દેવતાઓ સહેલાઈથી છોડે નહિ. કન્યા ઉપરનો દાવો જતો કરે નહિ. દેવતાઓના પાશમાંથી કન્યાને મુક્ત કરવા એવો ચોક્કસ સમય મુહૂર્ત પસંદ કરવાનું કે દેવતાઓના ચોકીદાર ઊંઘતા  હોય. કન્યા ફૂલનો હાર એકબીજાને પહેરાવીને કે એક્સ્ચેન્જ કરીને વરને સંમતિ આપે કે દેવતાઓના પાશમાંથી મુક્ત કરો. દેવતાઓ મારા વાલા એકદમ છોડે નહિ, ગુસ્સે થાય અટૅક પણ કરે.

એક ઊંચી ખસે નહિ તેવી શિલા ઉપર આરોહણમ કરી લેવાનું. વરુણ પાછો પાણીનો દેવ ઊંચી ખસે નહિ તેવી શિલા યોગ ગણાય. હવે વરકન્યાની મદદમાં કન્યાનો ભાઈ દોડતો આવે. દેવતાઓને ઘીમાં લથબથ ચોખા આપો લજ્જા હોમમ્મ, છોડો મારી બહેનને હું તમને ચોખા મમરા ઘી બધું આપું છું. એકવાર નહિ ત્રણ વાર ઘણી જગ્યાએ ચાર વાર. વરકન્યાના હાથ પકડાવી  અગ્નિની આજુબાજુ ફરીને દેવતાઓને પાછાં કન્ફ્યુજ કરવા પડે. આટલી લાંચ આપ્યા પછી પણ વરુણ કન્યાના વાળ પકડી રાખે, તો વર સેંથામાં સિંદૂર પૂરીને મુક્ત કરાવે. અને પછી સપ્તપદી દ્વારા એકબીજાને સાથ સહકારના વચન અપાય. સમાજના ઍલ્ફા નેતાની પકડમાંથી કન્યાને છોડાવવાની વિધિ સિમ્બૉલિક રીતે લગ્નવિધિમાં પ્રવેશી હોવી જોઈએ.

સમજો લગ્નવ્યવસ્થા એ મનૉગમીની શરૂઆતનું પ્રાથમિક ચરણ છે. મૂળભૂત મોટાભાગના મૅમલ પૉલીગમસ હોય છે. વધારે સ્ત્રીઓ સાથે લગ્નો કરીને પણ પુરુષો પૉલીગમી આચરતા હોય છે. એક સ્ત્રી સાથે ડિવોર્સ  લઈને બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા પણ એકજાતની પૉલીગમી જ થઈ.છતાં એક સ્ત્રી સાથે હોય ત્યારે બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવો નહિ કે રાખી શકાય નહિ તેવા કાયદા મનૉગમીની તરફેણ કરતા હોય છે.

ત્રેતાયુગમાં પેઅર-બૉન્ડિંગ શરુ થયું નહોતું એટલે સંતાનો આખા સમાજના સંતાનો કહેવાતા. દ્વાપરયુગમાં જોડલા બનાવીને રહેવાનું શરુ થયું એટલે સંતાનો માબાપ વડે ઓળખવાની શરૂઆત થઈ ચૂકી હતી. અને કળિયુગમાં લગ્નવ્યવસ્થા સરસ રીતે આકાર પામી ચૂકી હતી તો સંતાનો માતાપિતા વડે ઓળખાતા તો થઈ ગયા સાથે સાથે કાકા, મામા, કાકી, મામી માસામાસી સંબંધો શરુ થઈ ગયા. ભીષ્મ આ બધું જ્ઞાન આપે છે તે દ્વાપરયુગ હજુ ચાલુ હતો અને ભીષ્મ કળિયુગની વાતો પણ કરતા હોય છે. રામ ત્રેતાયુગમાં થયા પણ એમના સીતા સાથે લગ્ન થયા અને એકબીજા પ્રત્યે કમિટમન્ટ પણ દર્શાવે છે. હવે ભીષ્મના કહ્યા પ્રમાણે ત્રેતાયુગમાં પેઅર-બૉન્ડિંગ હતું નથી તો સમજો આ બધી વાતો અને યુગના ઉલ્લેખો એક વર્તુળમાં  સિમ્બૉલિક છે. સમાજનો જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ કૉમ્પ્લેક્સિટિ વધતી જાય છે.

પશ્ચિમમાં લગ્નવ્યવસ્થા તૂટતી જાય છે. એક રીતે એવું પણ કહી શકાય કે તે સમાજમાં ખુલ્લાપણું વધતું જાય છે, ઑપન્નેસ વધતી જાય છે. હવે તે સમાજ કલિયુગ તરફથી દ્વાપરયુગ તરફ કદાચ ત્રેતાયુગ તરફ પ્રયાણ કરી રહ્યો તેમ લાગે છે. ભારતમાં લીવ ઇન રિલેશનશિપને માન્યતા કાયદા દ્વારા આપી દેવાઈ છે. શહેરોમાં એનું પ્રમાણ વધતું જાય છે. અત્યંત ધીમી ગતિએ ભારતીય સમાજ પણ દ્વાપરયુગ તરફ વધી રહ્યો છે. ભીષ્મ પિતામહે બેચાર શ્લોકમાં ઇવલૂશન ઑવ હ્યુમન પેઅર બૉન્ડિંગનું વર્ણન કરી નાખ્યું. પણ જેમ જેમ પેઅર-બૉન્ડિંગ વિકાસ થતો ગયો તેમ એમાં બીજી વ્યક્તિઓની દખલનો વિકાસ કે ઇવલૂશન ઘટતું ગયું. pair-bonding મજબૂત થતું ગયું તેમ માલિકી ભાવના પણ વધતી ચાલી. માલિકી ભાવના વધતી ચાલી તેમ બીજાઓની દખલ ગમે નહિ તે સ્વાભાવિક છે. આ બીજાઓ એટલે જુના મિત્રો અને મહેમાનો પણ હોઈ શકે. આજે પણ કોઈ મિત્ર પરણી જાય તો જુના મિત્રો સાથે સંબંધ ઓછા કરી નાખતો હોય છે, અને જુના મિત્રો કહેતા પણ હોય છે કે સાલો પરણ્યા પછી બદલાઈ ગયો છે.

સૉક્રેટિસ એની પત્ની ઝેન્થીપીને એના ખાસ મિત્ર Alcibiades ને સોંપી દેવા માટે જાણીતો છે. ગ્રીક અને રોમન કલ્ચરમાં આવા અનેક દાખલાઓ છે.   “इष्टान्मित्रान्विभवान्स्वास्चदारान्” જરૂરિયાત સમયે સાચો મિત્ર એને કહેવાય જે પોતાની સ્ત્રી પણ સોંપી દે, આવું ફેમસ ઋષિ સનત્કુમાર ઉદ્યોગપર્વમાં કહે છે. સાચા મિત્રની છ ક્વૉલિટી યુધિષ્ઠીર વર્ણવે છે, જેમાંની છઠ્ઠી ઉપર કહી તે છે. સ્ત્રીને મિત્રોમાં શેઅર કરવી સહજ હતું જેમ આજે ફેસબુક પર ફોટા શેઅર કરીએ છીએ.

પાણિની વ્યાકરણ માટે પ્રખ્યાત છે.  द्वयोर्मित्रयोरंपत्यम्द्वैमित्री અહીં પાણિની કહે છે ગ્રામ-ધર્મ મુજબ એક મિત્ર બીજા મિત્રને એની સ્ત્રી સોંપે અને તે સ્ત્રી ગર્ભવતી થાય અને જે સંતાન થાય તેને द्वैमित्री કહેવાય અને તેની પાલન પોષણની જવાબદારી બંને મિત્રોની ગણાય. ૧૯મી સદી સુધી મિત્ર અથવા મહેમાનની સેવામાં પત્ની મોકલવી આમ વાત હતી. આમાં મહેમાનોની સેવામાં દાસીઓ, નોકરાણીઓ મોકલવાનું પણ સામાન્ય હતું.

imagesCA5GJDC8મહાભારતના અનુશાસન પર્વમાં ઋષિ સુદર્શન એમની પતિને કહે છે ગૃહસ્થ ધર્મ મુજબ મહેમાનને ક્યારેય અસુખ પેદા થવું ના જોઈએ, મહેમાનની ઇચ્છા સમાગમ કરવાની થાય તો મહેમાનને આનંદિત રાખવાના તારા અને મારા ધર્મ મુજબ સમાગમની ના પાડવી નહિ. હવે સુદર્શન ઘરમાં હતા નહિ અને કોઈ મહેમાન આવ્યા હશે તેમની ઇચ્છા સમાગમની પૂરી કરવામાં આવેલી જાણી ઋષિ સુદર્શન એમની પત્નીના આભારી થયેલા કે તે ગૃહસ્થ ધર્મ સારી રીતે બજાવ્યો છે.

ભીષ્મે કહેલી બીજી સ્ટોરી જુઓ- ગૌતમ ઋષિ બહાર ગયેલા હતા. એમની પત્ની સાથે ઇન્દ્ર આવીને સમાગમ કરી ગયો. ઋષિ ગુસ્સે થયા અને એમના પુત્રને એની માતાને મારી નાખવા આજ્ઞા કરી ગુસ્સામાં આશ્રમ છોડી તપસ્યા કરવા વનમાં ગયા. ગુસ્સો શમતા પાછાં આવ્યા તો પુત્રે માતાને મારી નહોતી અને પિતાને સમજાવ્યા કે વિવેકબુદ્ધિ રાખી વિચારો કે માતાએ ફક્ત આતિથ્ય ધર્મનું પાલન કર્યું છે. ઋષિ શાંત પડી ગયા.

ત્રીજી સ્ટોરી રામાયણના ગૌતમ ઋષિની જુઓ એમને એમની પત્નીને અહલ્યાને શિલા પથ્થર બનાવી દીધેલી. ચોથી સ્ટોરી જુઓ જમદગ્નિ ઋષિની પત્ની રેણુકાએ તો કોઈ સમાગમ પણ નહોતો કર્યો ખાલી ચિત્રરથ ગંધર્વ સામે કામાંધ નજરે ફક્ત જોએલું જ. પણ ઋષિ ગુસ્સે થયા અને પુત્ર પરશુરામને આજ્ઞા કરીને રેણુકાનું મસ્તક હણાવી નાખ્યું. આ બધી વાર્તાઓ હકીકતમાં બની કે નહિ તે જવાદો, મૂળ વાત છે જેમ પેર-બોન્ડીંગ વધતું ગયું તેમ વિશ્વાસઘાત શબ્દનું મહત્વ વધતું ચાલ્યું. બેવફાઈ પતિ તો ઠીક પુત્ર દ્વારા પણ સહન કરવામાં આવતી નહિ. પાચમી વાર્તા રામની જુઓ રામને ખબર હતી કે સીતા પવિત્ર છે છતાં અગ્નિપરીક્ષા લીધી હતી.

આમ જોઈએ તો બધા યુગો સતયુગ, ત્રેતા, દ્વાપર, કલિયુગ બધા ઘણીવાર સંગાથે ચાલતા હોય છે.

વધુ પછી—

જોડે રેજો રાજ-૨. Hard Truths About Human Nature.

જોડે રેજો રાજ-૨. Hard Truths About Human Nature.

પુરાણોમાં મુક્તાચાર, ભાઈ બહેનના સમાગમ સંબંધો, પોતાની સ્ત્રી મિત્ર કે મહેમાનને અર્પણ કરવી, ગુરુપત્ની સાથે સમાગમ, બહુ પુરુષ ગમન, બહુ સ્ત્રી ગમન, પ્રાણીઓ સાથે સમાગમ, હંગામી સંબંધો, કન્ટ્રેક્ટ મૅરેજ જેવા અનેક દાખલા જોવા મળશે. વસિષ્ઠ અને અગત્સ્ય ઋષિ બંને એક જ માતાના જુદા જુદા પિતા દ્વારા પેદા થયેલા ભાઈઓ હતા. એ સમાજ આજના જેટલો દુષ્ટ ઑર્થોડૉક્સ સમાજ નહોતો. એ સમાજ આજના જેટલો પ્રેમીઓનો દુશ્મન નહોતો.

સ્ત્રી પુરુષના સંબંધોમાં ધીમે ધીમે  ઇવલૂશન થતું ગયું. શરૂમાં આપણે જોયું કે ભાઈ બહેન જ સમાગમ કરીને સંતતિ પેદા કરતા હતા. ચાલો  મહાભારતમાં  શાંતિ  પર્વમાં ભીષ્મ પિતામહ શું કહે છે તે જોઈએ.

नचैषांमैथुनोधर्मोबभूवभरतर्षभ।

संकल्पादेवचैतेषांगर्भःसमुपपद्यते।।  — 12-206-42

ततस्रेतायुगेकालेसंस्पर्शाज्जायतेप्रजा।

नह्यभून्मैथुनोधर्मस्तेषामपिजनाधिप।।  — 12-206-43

द्वापरेमैथुनोधर्मःप्रजानामभवन्नृप।

तथाकलियुगेराजन्द्वन्द्वमापेदिरेजनाः।।  — 12-206-૪૪

 ” હે ભરતશ્રેષ્ઠ, પ્રાણીઓનો વંશ સાશ્વત (ચિરસ્સ્થાયી) બનાવવા માટે સંભોગ જરૂરી નથી. એ દિવસોમાં સંતતિ (સંતાન-અપત્ય-ગર્ભ) સંકલ્પમાત્રથી થતી હતી.

તે પછીનાં યુગ, ત્રેતાયુગમાં, પ્રજા (સંતાન) સ્પર્શમાત્રથી થતી. એ યુગનાં લોકોને, હે રાજન, સંભોગની જરૂર ન હતી.

હે રાજન, દ્વાપરયુગમાં મનુષ્યોમાં સંભોગની ક્રિયાનું પ્રચલન થયું. અને કલિયુગમાં હે રાજન, લોકો લગ્ન કરી અને જોડલું બનાવી રહેતા થયા.”

ભીષ્મ પિતામહ ઉપર મુજબનું જ્ઞાન યુધિષ્ઠિરને આપતા હોય છે. એક નોંધવા જેવી વાત એ પણ છે કે ભીષ્મ પિતામહે પણ આ જ્ઞાન બીજા દ્વારા મેળવેલું છે, લગભગ વ્યાસ દ્વારા. એમના કહેવાનો ભાવાર્થ  એવો છે કે સતયુગમાં સમાગમની જરૂર નહોતી પડતી ખાલી સંકલ્પ કરવાથી સંતતિ પેદા કરી શકાતી, ત્રેતાયુગમાં સંકલ્પથી આગળ વધવું પડ્યું કે સ્પર્શ માત્રથી સંતતિ પેદા કરી શકાતી, દ્વાપર યુગમાં સંભોગ શરુ થયો, પણ હજુ લગ્નવ્યવસ્થા જેવી કોઈ વ્યવસ્થા નહોતી, કળિયુગમાં લોકો લગ્ન કરી જોડલું બનાવીને રહેવા લાગ્યા.

એક વાત નક્કી છે કે સંકલ્પ કે ઇચ્છા માત્ર થવાથી છોકરા પેદા નાં થાય. સ્ત્રી પુરુષના સમાગમ વગર સંતતિ પેદા નાં થાય. ખાલી સ્પર્શ કરવાથી પણ સંતતિ પેદા ના કરી શકાય. વળી આ જ્ઞાન પણ ભીષ્મ પિતામહે બીજા દ્વારા મેળવેલું છે. ઘણી ખોટી માન્યતાઓ હજારો વર્ષોથી ચાલી આવતી હોય છે. જેમ કે પૃથ્વી શેષનાગ ઉપર છે, હર્ક્યુલસે ઉચકેલી છે, સપાટ છે વગેરે વગેરે. હજુ આજે પણ જૈન સાધુઓ માટે પૃથ્વી સપાટ જ છે.

સજીવોના થયેલા ઇવલૂશન મુજબ જોઈએ તો એક કોશી સજીવો માટે સંભોગની ક્યાં જરૂર છે? સંકલ્પ પૂરતો છે એક માંથી બે થવા માટે. તો માછલાં અને તેમના જેવા અનેક સજીવોને પણ કહેવાતા સંભોગની જરૂર નથી હોતી. માદા ઈંડાનો ઢગલો મૂકી દે તેના પર નર આવીને તેના સ્પર્મ છોડીને જતો રહે. આ ખાલી સ્પર્શ જ થયોને? અને બીજા પ્રાણીઓ ક્યાં લગ્ન કરે છે? માનવ પણ હમણાં સુધી લગ્નના બંધન વગર સંતતિ પેદા કરતો જ હતો ને?

સૂક્ષ્મ અર્થમાં જોઈએ તો સતયુગમાં માનવો આદિમાનવ હોવા જોઈએ, અથવા થોડા સુધરેલા. કોઈ જોડી કે પેઅર બૉન્ડિંગ જેવું હશે જ નહિ. બે જણા વચ્ચે ઇચ્છા પેદા થઈ કે સીધા સંભોગમાં ઊતરી જતા હશે. ત્રેતાયુગમાં માનવ આગળ વધ્યો, સ્પર્શ વડે ઇચ્છા જતાવવાનું શરુ થયું હશે. હાથમાં હાથ પકડીને ફરવાનું શરુ થયું હશે. એમાંથી પાણીગ્રહણ વિધિ ઉદ્ભવી હોવી જોઈએ. દ્વાપર યુગમાં કાયદેસર સંભોગ શરુ થયા હશે પણ લોકો જોડીઓ બનાવતા હશે પણ લગ્ન જેવી વિધિ કરતા નહિ હોય. કળિયુગમાં લોકો લગ્ન કરીને જોડી બનાવીને રહેવા લાગ્યા, જે હજુ ચાલુ છે.

આજે આપણે ભાઈ બહેન સંભોગ દ્વારા સંતતિ પેદા કરતા જાણી આંચકો ખાઈ જઈએ છીએ, અરે સમ્રાટ જનમેજય પણ આવી વાતો સાંભળી ધ્રૂજી ઊઠેલા ત્યારે વૈશમ્પાયન ઋષીએ એમને શાંત પડેલા કે ‘હે રાજન ! પ્રાચીન સમયમાં તે યુગ-ધર્મ હતો’

ભીષ્મની વાતો સાવ નાંખી દેવા જેવી નથી. સત્યનો અંશ એમાં જરૂર છે. પૃથ્વી સપાટની  ગોળ ભલે બની પણ પૃથ્વી હતી તો સપાટની ગોળ બની ને? જૈન મુનિઓ માટે પૃથ્વી છે તેટલું જ ગનીમત છે. એક તો પહેલા મજબૂત નરને જ નારી મળે તેવી કુદરતી વ્યવસ્થા હતી. કોઈ લગ્ન વ્યવસ્થા હતી નહિ. ઉદાલક મુનિનો પુત્ર શ્વેતકેતુ ખૂબ નાનો હતો. પણ બુદ્ધિશાળી હતો. એ સમયે લગ્નના પવિત્ર બંધન હતા જ નહિ. એક ઉદાલક કરતા વધારે વિદ્વાન બ્રાહ્મણ આવ્યો અને ઉદાલકની સ્ત્રીને કહે ચાલ મારી સાથે. સ્ત્રી એટલાં માટે લખું છું કે લગ્ન વ્યવસ્થા આવી પછી પત્ની શબ્દ આવ્યો. બ્રાહ્મણોમાં મજબૂત કોણ કહેવાય? જે વધારે વિદ્વાન હોય તે. પેલી નાના શ્વેતકેતુને અને ઉદાલકને મૂકી ને ધરાર ચાલી ગઈ. બસ નાના શ્વેતકેતુનાં મનમાં થયું કે આ કેવું? એણે મોટા થઈને લગ્નવ્યવસ્થાની રચના કરી. અને પવિત્રતાનાં વાઘા પહેરાવી દીધા.

વધુ આવતે અંકે—-

નોંધ:– મિત્રો આ શ્રેણી માટે ઉપયોગી માહિતી પૂરી પાડવા બદલ મિત્રો શ્રી ચિરાગ પટેલ, ડો શ્રી હિતેશ મોઢા અને શ્રી અશોક મોઢવાડીયાનો ખુબ આભારી છું.

મૃત્યુને પેલે પાર

મૃત્યુને પેલે પાર
  મૃત્યુ પછીના જીવનમાં માનવું ભારત માટે નવું નથી. આપણે ભારતીયો સતત પરલોકની ચિંતા કરતા હોઈએ છીએ. પુનર્જન્મ થવાનો જ છે એવી માન્યતાએ ભારતને સાવ  ધીમું પાડી દીધું છે. આજે નહિ તો કાલે અને આ જન્મે નહિ તો આવતે જન્મે કામ પૂરું કરીશું. નવા જન્મે સુખી થવા માટેની ચિંતા અને પળોજણમાં લગભગ હાલનો જન્મ બગાડીએ છીએ. ક્યારેક કોઈને એક્સીડેન્ટ થાય તો મોતના અનુભવ લઈને પાછાં આવ્યાના દાખલા પણ ચર્ચાતા હોય છે. શરીરમાંથી જીવ બહાર નીકળી ગયાનો અનુભવ પણ ઘણાને થતો હોય છે, અને જીવ પાછો શરીરમાં આવી જતો હોય છે. જીવ ક્યાંક મુસાફરી કરીને પાછો આવ્યાની અનુભૂતિ ઘણા વર્ણવતા હોય છે. આવા અનુભવને near-death experience (NDE)કહેવાય છે. આવા પારલૌકિક અનુભવ ખાલી ભારતમાં થાય છે તેવું પણ નથી. ૧૮ મિલિયન અમેરિકનો આવો અનુભવ થયાનું કબૂલે છે. હવે અમેરિકાના એક કરોડ કરતા વધુ અને ભારતના એક અબજ કરતા વધુ લોકો માનતા હોય કે આત્મા શરીર છોડી જાય છે અને ભગવાનને મળવા જાય છે કે મળે છે કે એવા બીજા અનેક  પૂરાવા રજૂ કરવાથી આ બધી બાબતો સત્ય બની જતી નથી. લોકો એમને થયેલા અનુભવો વિષે ખોટો અર્થ કરી લેતા હોય છે, વિપર્યાસ કરતા હોય છે. optical illusion આનું બહેતર ઉદાહરણ છે. બ્રેઈનમાં મૅમરી સ્ટોર થયેલી હોય છે તે જેવી માહિતી બહાર મોકલે તેવું ઘણીવાર દેખાતું હોય છે. એટલે કહેવત છે કે ઘણીવાર આંખે જોયેલું પણ સાચું હોતું નથી. હમણાં હું મારા શ્વશુરને ઘેર ગયેલો. બારણું ખોલતા અંદર જરા અંધારાં જેવું હોય તે સ્વાભાવિક હતું. અંદર દૂર મારા શ્વસુરજી ઉભા હતા પણ મને ક્ષણવાર માટે એમના બદલે મારા સાળાશ્રી જણાયા. બ્રેઇને  આંખો દ્વારા મળેલી માહિતીનું ખોટું પ્રોસેસિંગ ક્ષણવાર માટે કરી નાખ્યું. આખો દિવસ મંદિરમાં મૂર્તિઓ આગળ કાલાવાલા કર્યા હોય તો ભગવાન દેખાઈ જાય તે સ્વાભાવિક છે. રામકૃષ્ણ પરમહંસને મહાકાલી સાથે વાતો કરવાના ભ્રમમાંથી મુક્ત કરવા માટે યોગીરાજ તોતાપુરી સ્વામીને સારી એવી તકલીફ પડેલી.
     Kevin Nelson (The Spiritual Doorway in the Brain) નોંધે છે કે હ્રદયમાંથી ધકેલાતું ૨૦ ટકા બ્લડ સીધું બ્રેઈન તરફ જાય છે. બેભાન થતા પહેલા ઘણીવાર આ બ્લડ ફ્લો ૬ % સુધી ઘટી શકે છે. જ્યારે બ્લડ પ્રેશર ખૂબ નીચું જતું રહે અને નબળાઈને કારણે મૂર્છા આવે ત્યારે હૃદય સાથે સીધું જોડાણ ધરાવતી મોટી vagus nerve સભાન અવસ્થાને REM sleep તરફ વાળી મૂકે છે. જોકે બધા લોકોને આવું સીધી રીતે REM sleep તરફ વળવાનું શક્ય નથી બનતું, પણ ઘણા બધા ઝટ અસર થાય તેવા વિવિધ  આભાસ થતા હોય છે, આને REM intrusion કહે છે. જાગૃત અને ઊંઘ વચ્ચેની અવસ્થા દરમ્યાન આવું ખાસ થતું હોય છે. રેમ અવસ્થા એટલે આપણે ઊંઘમાં સ્વપ્ના જોતા હોઈએ તે અવસ્થા કહેવાય અને આ અવસ્થા સમયે શરીર સાવ શીથીલ થઈ જતું હોય છે. આ સ્વપ્નાવસ્થા અને જાગૃત અવસ્થા વચ્ચે ઝોલા ખવડાવતું મીકેનીઝમ NDEs  અનુભવની વાતો કરનારા લોકોમાં પણ કામ કરતું હોય છે.  rem intrusion દરમ્યાન લકવો (sleep paralysis )થઈ ગયો હોય તેવો અનુભવ થતો હોય છે. આમાં સંપૂર્ણ જાગૃત હોઈએ તેવા અનુભવ સાથે ભારવિહીન હોઈએ તેવું લાગે, શરીરની બહાર હોઈએ તેવા અનુભવ સાથે દિગ્મૂઢ થઈ જવાય. રેમ સ્લિપ દરમ્યાન બ્રેઈનના પ્લેઝર સેન્ટર ઉત્તેજિત થતા હોય છે, એના લીધે  એક પરમ શાંતિ અને એકતાનો અનુભવ પણ થતો હોય છે જે NDEs દરમ્યાન પણ નોંધાયો છે. ઊંઘના ચાર તબક્કાઓ હોય છે. પહેલા ત્રણ ભાગને NREM- Non Rapid eye movement  સ્લિપ કહેવામાં આવે છે, અને ચોથા તબક્કાને REM એટલે કે Rapid eye movement કહેવામાં આવે છે. NREM નો ત્રીજો તબક્કો ઊંડી ઊંઘનો છે. ત્યાર પછી રેમ આવે તેમાં આંખો કશું જોઈ રહી હોય તેમ પોપચાં પાછળ ઝડપથી ફરતી હોય છે, સપના જોવાના શરૂ થઈ ચૂક્યા હોય છે.  ઊંઘવા માંગતો વ્યક્તિ ધીમે ધીમે ચોથા રેમ તબક્કામાં  પ્રવેશ કરે અને તરત જાગી જાય ત્યારે પણ  ઉપર મુજબનો અનુભવ થતો હોય છે.
Near-Death experiences વખતે કોઈ ટનલ, બોગદામાંથી પસાર થતા હોય તેવા લાખો અનુભવ પણ નોંધાયા છે. મૂર્છા પામતા પહેલા “tunnel vision ” અનુભવમાંથી પસાર થયાના દાખલા ખૂબ જાણીતા છે. નેત્રપટલનાં કેન્દ્ર કરતા એના પરિઘ તરફ બ્લડ ફ્લો વધારે ઓછો થતા દ્ગષ્ટિ ફલક કોમ્પ્રેસ્ડ થાય છે, અને તેના લીધે ટનલ વિઝન ઇફેક્ટ પેદા થતી હોય છે એવું  Neurophysiology નું માનવું છે. મૂળ આંખો તરફ લોહી ઓછું વહે તેમાં આવી ઇફેક્ટ પેદા થતી હોય છે.
     બીજો NDEs વિશેનો અનુભવ  શરીરની બહાર હોઈએ તે છે. આત્મા શરીર બહાર નીકળી ગયો છે તેવો અનુભવ થતો હોય છે. આ પણ એક જાતનું ઇલ્યુઝન છે. અચાનક જાગી જવાથી, એનિસ્થીઝયામાંથી બહાર આવતા, આંચકી કે તાણ આવે ત્યારે, માઇગ્રેન  થાય  ત્યારે ઘણાને આત્મા શરીરમાંથી બહાર નીકળી ગયો હોય તેવા અનુભવ થતા હોય છે. હવે આ બધા કારણો વખતે આત્મા શરીર બહાર નીકળી જાય તેવું માનવાને કોઈ કારણ નથી. ૧૯૫૦મા Penfield નામના ન્યુરોસર્જન seizures ઉપર સંશોધન કરી રહ્યા હતા. બ્રેઇનમા ટ્યુમર હોય કે કોઈ જખમ થયો હોય તે seizure માટે કારણભૂત છે કે નહિ તે વિષે સંશોધન કરતા હતા. બ્રેઈનના cerebral cortex નો તાગ મેળવવા એમણે સેંકડો જાગૃત દર્દીઓના બ્રેઈનને stimulate કરેલા. બ્રેઈનમાં આપણું ફીજીકલ બોડી ક્યાં છે તેનો તાગ મેળવવો હતો.
  એક પેશન્ટ temporal lobe seizures વડે પીડાતો હતો. Penfield વિદ્યુત કરંટ વડે દર્દીના બ્રેઈનને ઉત્તેજિત કરતા હતા. આ દર્દીના temporoparietal region stimulate કરતા દર્દીને લાગ્યું એનો આત્મા શરીર બહાર આવી ગયો છે. અને stimulation બંધ કરતા આત્મા પાછો શરીરમાં આવી ગયો છે તેવો  અનુભવ થયો. હવે ન્યુરોલોજીસ્ટ જાણી ચૂક્યા છે કે બ્રેઈનનો temporoparietal region  શરીરની રૂપરેખા કે નકશાને સંભાળવાનું કામ કરે છે. જ્યારે બહારથી આ વિભાગને કરંટ આપવામાં આવે છે ત્યારે તે કામ કરવાનું બંધ કરતા શરીરનો નકશો મન કે દ્ગષ્ટિ આગળ તરવા લાગે છે.  બ્રેઈનમાં  temporoparietal region આપણાં શરીરની રૂપરેખાનું પ્રતિનિધિત્વ કરે છે. આઈરીશ લેખક ક્રિસ્ટી બ્રાઉન આખા શરીરે લકવા ગ્રસ્ત હતો. જન્મથી દસ વર્ષ સુધી એને મેન્ટલી  રીટારડેડ સમજવામાં આવ્યો હતો. એ બોલી પણ ના શકતો. એનું બ્રેઈન ફક્ત ડાબા પગને જ કંટ્રોલ કરી શકતું હતું. ચાલી પણ ના શકતો. એણે ડાબા પગ વડે ચિત્રો દોર્યા, જુના જમાનાનું ટાઇપ રાઈટર ચલાવ્યું ને મોટો લેખક બની ગયો. સેરેબ્રલ પાલ્સીનો એ શિકાર હતો. બ્રેઈનનો આ  વિભાગ શરીરનું બેલેન્સ જાળવવાનું કામ કરે છે. બાળકને જન્મ સમયે ઓક્સિજન  એટલે કે શ્વાસ   લેવામાં કોઈ ગરબડ ઊભી થાય કે આચકી આવે તો આ સેરેબ્રલ  વિભાગમાં ગરબડ થાય છે. આમ બ્રેઈન ચાલતું હોવા છતાં શરીરને સેરેબ્રલ વિભાગમાં ખામી હોવાથી કોઈ આદેશ આપી શકતું નહોતું. stephen hawking પણ હાલ એવી હાલતમાં છે. એમનું શરીર બ્રેઈનનાં કોઈ મેસેજ લઈ શકતું નથી. આમ જુઓ તો એમનો આત્મા શરીર બહાર કાયમ સ્થિત હોય તેવું જ છે ને?  temporoparietal region માં કશી ગરબડ થતા કે ઈજા થતા આત્મા શરીર બહાર નીકળી ગયો છે તેવું લાગતું હશે. એક તો આપણે આત્મા, પરમાત્મા અને પુનર્જન્મ જેવી માન્યતાઓમાં અગાઉથી સંપૂર્ણ રત હોઈએ અને આવી કોઈ ઈજા થાય અને શરીર હલનચલન કરવા હંગામી અસમર્થ બની જાય ત્યારે પેલી પૂર્વગ્રહિત ધારણાઓ પણ આત્મા બહાર નીકળી ગયો છે તેવું માનવા પ્રેરતી હોઈ શકે.
સપના પણ આવી બાબતોમાં ખૂબ મહત્વનું કામ કરતા હોય છે. ઘણા લોકો સપનાને સત્ય સમજતા હોય છે. અથવા એ બહાને લોકોને લલ્લુ બનાવતા હોય છે. અમારા એક વૃદ્ધ સંબંધી મહિલા ઘણીવાર લોકોને લલ્લુ બનાવતા કહેતા કે આજે કાનુડો મને મળવા આવેલો. પછી ખબર પડી કે સપનામાં કાનુડો આવેલો. ખરેખર કાનુડાનું સપનું પણ આવ્યું હશે કે કેમ? પણ લોકો એમની પાસે કશી શક્તિ છે સમજી પુછવા આવતા. ઘણીવાર મૃત સગા સપનામાં આવે તો ભૂત થયા છે તેવું પણ લોકો માનતા હોય છે. સપનામાં આવતી મૃત વ્યક્તિઓના લીધે પણ પુનર્જન્મ છે તેવી ધારણા બંધાઈ જતી હોય છે. ટ્રેડિશનલ સમાજોના મોટાભાગના રીલીજીયસ આઈડીયા સપનાઓની પેદાશ છે તેવું Jackson Steward Lincoln અને  Sir Edward Tylor (The dream in Native American and other primitive cultures)કહે છે. સપનામાં જોએલી વાતો ધાર્મિક રીતિ રિવાજ બની જતી હોય છે.
ભગવાન, એન્જલસ, ભૂત, મૃત્યુ પામેલા પૂર્વજો આવી અદ્રશ્ય ગણાતી વ્યક્તિઓ  શા માટે દેખાતી હશે? આવી બધી બાબતોમાં માનવું ઉત્ક્રાન્તિના વારસામાં જન્મજાત મળેલું હોય છે. The Oxford psychologist Justin Barrett has suggested that the prevalence of beliefs of this kind may in part be explained by our possessing a Hyper-sensitive Agent Detection Device, or H.A.D.D. આપણે આસપાસની દુનિયાનું બે રીતે પૃથક્કરણ કરતા હોઈએ છીએ એક તો કુદરતી કારણો વિચારીને  અને બીજું વ્યક્તિને અનુલક્ષીને વિચારતા હોઈએ છીએ. દાખલા તરીકે વૃક્ષ ઉપરથી કેરી નીચે પડી તો એક કારણ એવું હોય કે પવન આવ્યો અને કેરી નીચે પડી ગઈ બીજું કારણ એવું હોય કે મગનભાઈને કેરી ખાવાનું મન થયેલું એમણે વૃક્ષ હલાવ્યું અને કેરી નીચે પડી. આપણે જે વાતાવરણમાં જીવીએ છીએ ત્યાં આસપાસ અસરકર્તા બહુબધા વ્યક્તિઓ રહેતા હોય છે. ફેમિલી મેમ્બર્સ, મિત્રો, દુશ્મનો, હરીફો, હુમલાખોરો, શિકાર અને શિકારી આવા અનેક આસપાસ હોય છે. આપણે આવા પ્રતિનિધિઓ બાબતે વધારે પડતા સેન્સીટીવ, ઓવર સેન્સીટીવ બનવા ઇવોલ્વ થયેલા છીએ. એમને જાણવા અને ઓળખવા સર્વાઈવલ અને રીપ્રોડક્શન માટે મદદરૂપ થતું હોય છે. એટલે પાછળ કોઈ સુસવાટા મારે કે પવન જોરથી આવે તો આપણે તત્ક્ષણ પાછાં ફરીને કોઈ છે કે નહિ તે જોવાનો પહેલો પ્રયાસ કરીશું. પહેલો વિચાર એવો નહિ આવે કે ખાલી પવન છે. આમ કાલ્પનિક અસંખ્ય પ્રીડેટર વિષે વિચારવું બહેતર બની જાય એક રીયલ પ્રીડેટરનાં મુખમાં સ્વાહા થઈ જવા કરતા. Thus evolution will select for an inheritable tendency to not just detect – but over detect – agency. We have evolved to possess (or, perhaps more plausibly, to be) hyper-active agency detectors. એટલે ભલે કોઈ ના દેખાય પણ કોઈ છે  તેવું વિચારવા આપણે ઇવોલ્વ થયેલા છીએ. આ વલણનાં લીધે સ્પીરીટ, ઘોસ્ટ, એન્જલસ, ભગવાન, રાધાકૃષ્ણના રાસ બધું દેખાતું હોય છે. કેટલાક સ્માર્ટ લોકો આ ખૂબીનો દુરુપયોગ કરીને ખૂબ રૂપિયા કમાય છે જેને આપણે ધર્મગુરુ કે કથાકાર કહીએ છીએ.

જોડે રેજો રાજ-૧ Hard Truths About Human Nature

જોડે રેજો રાજ. Hard Truths About Human Nature.

ઉત્ક્રાંતિનું મહત્વનું પરિબળ છે કામ(સેક્સ). એના રૂપ ભલે વિવિધ હોય, જેવા કે વનસ્પતિ જગતમાં પરાગનયન કહેવાય છે પણ સેક્સ વગર ઉત્ક્રાંતિ શક્ય નથી. ઘણા સજીવો પ્રત્યક્ષ સમાગમ કરતા નથી હોતા. દા.ત. માછલીઓમાં એગ્સ ઉપર સ્પર્મ છાંટીને નર રવાના થઈ જતો હોય છે. આમ ઉત્ક્રાંતિનું ચક્કર આગળ ચાલુ રાખવા નર માદાનું સાહચર્ય જરૂરી છે. કુદરતને આ ચક્કર ખૂબ મજબૂતીથી આગળ વધારવું છે. આમ હવા, પાણી અને ખોરાકની જેમ sex drive બેસિક છે. કુદરતને નબળા જેનિસ નવી પેઢીમાં ટ્રાન્સ્ફર થાય તેમાં રસ નથી હોતો. કરોડો વર્ષોથી પ્રાણીઓ નાર માદાના સંબંધોને કોઈ નામ આપ્યા વગર ઉત્ક્રાંતિ કરતા આવ્યા છે.

પુરાણોની પ્રતીકાત્મક વાર્તાઓ સમજવા જેવી હોય છે. એમાંથી ઇવલૂશનનો ઇતિહાસ મેળવી શકાય છે. પૃથ્વીની ઉત્પત્તિ થઈ  શરૂમાં બ્રહ્માજીએ સ્ત્રી ઉત્પન્ન કરી, જે હાલની દ્રષ્ટીએ એમની પુત્રી કહેવાય. પુત્રી સાથે મૈથુનમાં રત થઈને બ્રહ્માજીએ સંખ્યા વધારવાનું શરુ કર્યું. વાર્તા તો એવી છે કે એમની પુત્રી ભાગી અને બ્રહ્માજી પાછળ પડ્યા. અહીં જુઓ મજબૂત નરનાં પરીક્ષણ માટે લગભગ તમામ સજીવ માદાઓ ભાગતી હોય છે, નરને પોતાની પાછળ દોડાવતી હોય છે પછી સમાગમ કરવા દેતી હોય છે.

આ પુત્રી ભાગીને ગાય બની ગઈ તો બ્રહ્માજી આખલો બની ગયા, ઘોડી બની ગઈ તો બ્રહ્માજી ઘોડો બની ગયા. આમ સ્વરૂપ બદલાતા ગયા અને જાત જાતના સજીવો પેદા થતા ગયા. કુદરત ફળદ્રુપ સ્ત્રી અને પુરુષ એવા સંબંધને જાણતી હોય છે. ધીમે ધીમે ઇવલૂશન થતું ગયું. સંબંધોને નામ મળતા ગયા. પુત્રી સાથેના સેક્સ સંબંધો પ્રાચીન ઈજીપ્તમાં માન્ય હતા.

જૈનોના પ્રથમ તીર્થંકર ઋષભદેવ જેઓ આદિનાથ તરીકે પણ ઓળખાય છે. નાથ શબ્દ સમૂહના વડાને સૂચવે છે. આદિનાથ સુધી બહેન સાથે જ  જોડી બનાવીને પ્રજોત્પત્તિ કરવામાં આવતી હતી. લગ્નવ્યવસ્થા જેવું કશું હતું નહિ. ઋષભદેવનો ઉલ્લેખ તો ઋગ્વેદમાં પણ છે. વાર્તા એવી છે કે દરેક જોડીને એક પુત્ર અને પુત્રી પેદા થતા મોટા થઈને આ જ કહેવાતા ભાઈ બહેન જોડી બનાવીને આગળ સંતાન પેદા કરતા. અકસ્માતે આવી એક જોડી ખંડિત થઈ, આ જોડીમાંનો પુરુષ મૃત્યુ પામ્યો. પેલી સ્ત્રી એકલી પડી, તો ઋષભદેવે એમની સાથે સ્ત્રી હોવા છતાં પેલી એકલી પડેલી સ્ત્રી સાથે જોડી બનાવી. અહીં શરૂઆત થઈ ભાઈ બહેન સિવાય જોડી બનાવવાની. આ વાર્તા સત્ય હોય કે નાં પણ હોય. છતાં સમજવા જેવી વાત એ છે કે ભાઈ બહેનનાં સેક્સ સંબંધો સિવાયના સેક્સ સંબંધોની શરૂઆત થઈ. ચાલો યમ અને યમીનો દાખલો જોઈએ.

યમરાજાને ધર્મરાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. યમરાજાને એક બહેન હતી યમી. આ યમીએ ભાઈ યમને સમાગમ કરીને સંતાન માટેની ઇચ્છા પૂરી કરવાનું કહ્યું. યમરાજાએ આ ઑફર નકારી. ત્યારે યમી ગુસ્સે થાય છે, ભાઈ શું કામનો જે એની ઇચ્છા પૂરી ના કરે અને અનાથ છોડી દે?  भ्राता, भर्तृ બંનેનું મૂળ भ्रમાં સમાયેલું છે, અને એનો અર્થ ભરવું કે સંતોષવું થાય. યમી કહે છે  ”किंभ्रातासद्यद्अनाथंभवति? किमुस्वसायत्निरऋतिःनगच्छात्”.

પ્રાચીન ઈજીપ્તમાં રાજા એની બહેન જોડે જ લગ્ન કરતો બ્લડ લાઈન શુદ્ધ રાખવા માટે અને ક્વચિત્ પુત્રી જોડે લગ્ન કરતો. અહીં યમ દ્વારા યમીને નાં પાડવાથી એક કુખે અવતરેલા વચ્ચે જોડી બનાવવાના સંબંધો પૂર્ણ થયા અને ભાઈ બહેનના સંબંધો ઊભર્યા જ્યાં સેક્સ અસ્વીકાર્ય બન્યો. અનુભવો દ્વારા માનવ શીખ્યો હોય કે નજીકના લોહીના સંબંધોમાં પ્રજા પેદા કરવામાં વારસાગત રોગો ઊતરવાનું જોખમ વધી જાય છે. આ સમજ કેળવાઈ હોય અને યમ દ્વારા યમીને સંતાન પ્રાપ્ત કરવાની ઇચ્છા પૂર્ણ કરવા બાબતે ના પડાઈ હોય.

મોટાભાગના મૅમલ સમૂહમાં રહેવા ઈવૉલ્વ થયેલા છે. માંસાહારી મૅમલ વચ્ચે સર્વાઇવ થવાનું હોય તેવા મૅમલ તો ખાસ સમૂહમાં રહે તો જલદી સર્વાઇવ થવાય તેવું શીખીને સમૂહમાં રહેવા ઈવૉલ્વ થઈ જતા હોય છે. કાર્નિવોરસ મૅમલ પણ એકલાં હોય તો શિકાર મળવો મુશ્કેલ હોય છે. દિવસો સુધી ભૂખ્યા રહેવું પડતું હોય છે.

માણસજાત સમૂહમાં રહેવા ઈવૉલ્વ થયેલી છે. એટલે ધીમે ધીમે પ્રથમ  માતૃપ્રધાન સમાજ વિકાસ પામ્યા હશે. સંતાનો પણ માતાથી ઓળખાતા પિતા વડે નહિ. પિતા સમૂહમાંથી કોઈ પણ હોઈ શકે. મામા શબ્દ પિતા કરતા જુનો લાગે છે. બાળકો પણ સમૂહના બાળકો ગણાતા. વંશ પણ શરૂમાં માતાથી ઓળખાયા છે. અદિતિના આદિત્ય, દિતિના દૈત્ય, દનુના દાનવ આમ વંશ પણ માતા વડે ઓળખ પામેલા છે.

આપણાં હોમોસેપિનનાં કઝન ગણાતા ચિમ્પેન્ઝી male dominant સમાજ ધરાવે છે, અને એવા જ બીજા કઝન બોનોબો female dominant સમાજ ધરાવે છે. હાથી માતૃપ્રધાન સમાજ છે. મોટાભાગના મૅમલમાં pair-bonding હોતું નથી. માનવમાં પણ નહોતું. લગ્નવ્યવસ્થા હજુ દૂરની વાત હતી. ધીમે ધીમે વિકાસના ક્રમમાં આગળ વધતા  વધતા, સમૂહની પ્રધાન  સ્ત્રી પોતાના સમૂહના જુદા જુદા પુરુષો સાથે  સમાગમ સંબંધો રાખતી હશે, સમૂહનો મુખ્ય પુરુષ સમૂહની તમામ સ્ત્રીઓ પ્રત્યે આધિપત્ય રાખતો હશે, સમૂહના અનેક પુરુષો અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખતા હશે. એક સમૂહના સ્ત્રી અથવા પુરુષો બીજા સમૂહના સ્ત્રી પુરુષો સાથે સંબંધ રાખતા હશે. આમ એક સમૂહ એટલે એક વંશ આવા સમૂહો ધીમે ધીમે ગોત્રમાં પરિવર્તન પામ્યા હશે તે નક્કી છે. હવે સ્ત્રીની પહેલી પસંદ મજબૂત જીન અને વિપુલ સંપદા હોય તે સ્વાભાવિક છે.

ઘણાને સ્ત્રી મળતી નહિ હોય જેનિસ ટ્રાન્સ્ફર કરવા માટે. આવા લોકોને સ્વેચ્છાએ કે અનિચ્છાએ સ્ત્રીઓ માટે પોતાનો દાવો જતો કરવો પડતો હશે. આવા લોકોને માન સન્માન આપી દેવું સારું એ બહાને નડતા બચે. આવા લોકો બ્રહ્મચારી ઋષિઓ કહેવાયા. ચાલો આ જન્મે નહિ આવતા જન્મે કે સ્વર્ગમાં સોળ વરસની સુંદર અપ્સરાઓ ભોગવવા મળશે,  હાલ ભાગો અહીંથી તપ કરો જંગલમાં જઈ. સનકાદી ઋષિઓ આવા દાખલા છે. એમાં તપ કરતા કોઈવાર ભૂલમાં કન્યા મળી પણ જાય જેમ ચ્યવન ઋષિને મળી ગયેલી. એ બહાને આજે આપણને ચ્યવનપ્રાશ ખાવા મળે છે.

પુરાણોમાં મુક્તાચાર, ભાઈ બહેનના સમાગમ સંબંધો, પોતાની સ્ત્રી મિત્ર કે મહેમાનને અર્પણ કરવી, ગુરુપત્ની સાથે સમાગમ, બહુ પુરુષ ગમન, બહુ સ્ત્રી ગમન, પ્રાણીઓ સાથે સમાગમ, હંગામી સંબંધો, કન્ટ્રેક્ટ મૅરેજ જેવા અનેક દાખલા જોવા મળશે. વસિષ્ઠ અને અગત્સ્ય ઋષિ બંને એક જ માતાના જુદા જુદા પિતા દ્વારા પેદા થયેલા ભાઈઓ હતા. એ સમાજ આજના જેટલો દુષ્ટ ઑર્થોડૉક્સ સમાજ નહોતો. એ સમાજ આજના જેટલો પ્રેમીઓનો દુશ્મન નહોતો.

વધુ પછી—-

सत्यमेव जयते नानृतं

सत्यमेव जयते नानृतं
सत्यमेव जयते नानृतं, આ ત્રણ શબ્દો મંડૂક ઉપનિષદનાં એક શ્લોકનાં છે. આનો અર્થ એ થાય કે સત્યનો વિજય થાય છે, જે સત્ય ના હોય તેનો નહિ. નાનૃતં શબ્દમાં ઋત શબ્દ સમાયેલો છે. ઋત નો અર્થ સત્ય થાય છે. ઋતનો બીજો અર્થ ઋતુ એટલે કે સીઝન પણ થાય છે. ઋતુઓ બદલાઈ જાય છે કાલચક્ર પ્રમાણે તેમ સત્ય પણ બદલાઈ જતું હોય છે. મંડૂક એટલે મસ્તક. આખો શ્લોક વાંચવો છે?
सत्यमेव जयते नानृतं सत्येन पंथा विततो देवयानः।
येनाक्रमन्त्यृषयो ह्याप्तकामा यत्र सत्सत्यस्य परमं निधानम्॥
અર્થાત સત્યનો વિજય થાય છે, જે સત્ય ના હોય તેનો નહિ. સત્ય વડે દેવયાન માર્ગ પરિપૂર્ણ છે. તેના દ્વારા કામના રહિત ઋષિગણ તે પરમપદને મેળવતા હોય છે, જ્યાં સત્યના શ્રેષ્ઠ ભંડાર રૂપ પરમાત્માનો  નિવાસ છે.
પહેલો સવાલ તો એ છે કે સત્ય કોને માનવું? આ સત્ય જડે તો સમજ પડે કે કોનો વિજય થાય છે. આપણને જે સત્ય લાગતું હોય તે બીજાને ના પણ લાગે. તો પછી સત્ય કોને સમજવું? સત્ય જડ્યા વગર ભારત સરકારે રાષ્ટ્રીય એમ્બ્લમ નીચે આ શ્લોકના પ્રથમ બે શબ્દો મૂકીને લોકોને એક આભાસી દિલાસો આપી દીધો છે કે ચિંતા ના કરો સત્યનો હંમેશા વિજય થાય છે, તે પણ આશરે ૮૦૦ વર્ષની ગુલામી બાદ. સરકાર ચલાવતા નેતાઓ કહ્યે જાય છે કે સત્યનો વિજય થાય છે ચિંતા નાં કરો અમને પૈસા સ્વીસ બેન્કોમાં મૂકવા દો તમતમારે મજૂરી કરે રાખો. આત્મા પરમાત્માની વાતો બાવાઓ, બાપુઓ  અને સંતો મહંતો  માટે બાજુ પર રાખીએ આપણે સત્યમેવ જયતે શો વિષે જોઈએ.
સત્યમેવ જયતે ટીવી શોમાં આમીરખાન કોઈ નવા મુદ્દા લાવ્યો નથી. વર્ષોથી આ બધી બદીઓ ચાલુ જ છે. એમાં કોઈને કશું ખોટું લાગતું નથી. જેને અસર થાય કે પીડા થાય કે સહન કરવાનું આવે તેને અસત્ય લાગે, બાકી બીજાને સત્ય લાગતું હોય છે. શાસ્ત્રોએ શીખવ્યું છે કે દીકરાથી વંશ રહે. શાસ્ત્રો પુરુષોએ લખ્યા છે. એટલે કન્યા ભૃણ હત્યા કરનારાને એમાં કશું ખોટું દેખાતું નથી. દહેજ લેનારને દહેજ લેવામાં સત્ય દેખાતું હોય છે. દહેજ માટે વહુને પરેશાન કરવામાં સાસુમાને એમાં ગૌરવ જણાતું હોય છે, પરેશાન થનારી વહુને ભલે અસત્ય લાગે. ગર્ભ પરીક્ષણ ચાલુ થયા ત્યારે તો હું કદાચ ટીનેજર હતો, આજે ૫૫ થયા છે. ત્યારની કન્યા ભૃણ હત્યાઓ ચાલુ જ છે. જોયાનું ઝેર છે આમીરે આ ઝેર ટીવીના પડદે બતાવ્યું છે. આપણી બીમારીઓ આપણે જોઈ શકતા નથી અને જોવી ગમતી નથી. બીમારીઓ બતાવનારાઓને નેગેટિવ થીંક કરે છે, પોજીટીવ નથી, પોજીટીવ બનવું જોઈએ, સારું ઘણું છે સારી બાબતો બતાવવી જોઈએ, બીજા દેશોમાં પણ આવું ચાલતું હોય છે ત્યારે કેમ કહેતા નથી, બીજા ધર્મોમાં પણ ચાલે છે, બીજા સમાજોમાં પણ ચાલે છે, બીજા સામાજો વિષે લખી જુઓ ટાંટિયા ભાગી નાખશે,  આવા જાતજાતના એક્સક્યુઝ કાઢવામાં આવતા હોય છે. મૂળે રોગીષ્ટ છીએ અને રોગ દુનિયા જાણી જાય છે તેની શરમ આવે છે. સારું છે તેને ગાવાની શું જરૂર છે? સારુ તો આગળ વધતું જ રહેવાનું છે, પહેલું કામ બીમારી જોવાનું કરવું જોઈએ જેથી રોગનો નાશ કરી શકાય. હમણાં એક અંગત સંબંધીને JFK  હોસ્પિટલમાં દાખલ કરેલા. એમને એક જ કીડની છે અને તે બરોબર કામ કરતી નહોતી. આખું બોડી ચેકપ થઈ ગયું. જે અંગો સારા હતા ને બરોબર કામ કરતા હતા તેની ડોકટર્સ કોઈ ચર્ચા કરતા નહોતા. જે અંગ બીમાર જણાયા તેની પાછળ પડી ગયેલા. ચાર પાંચ જુદા જુદા સ્પેશીયાલીસ્ટ રોજ આવતા હતા. છ દિવસે ઘેર જવાની રજા મળી. મેં મારા તે સંબંધીને કહ્યું પણ ખરું કે આ ડોક્ટર્સ નેગેટિવ થીન્કર છે, પોજીટીવ નથી. તમારું હાર્ટ સારું ચાલે છે તેની કોઈ ચર્ચા કરતા નથી. લીવર અને કિડનીની જ ચિંતા કરે છે, બગડેલી વસ્તુની ચિંતા કરે છે. સારી વસ્તુઓ પણ જોવી જોઈએ ને? એ સંબંધીએ હસતા હસતા કહ્યું આ બધા તમારા જેવા છે.
મોટો પ્રશ્ન એ પણ છે કે શો બનાવનારો આમીર ધર્મે મુસલમાન છે. કોઈ અમિતાભ  બચ્ચન , ઋત્વિક રોશને કે અક્ષયકુમારે આ શો બનાવ્યો હોત તો??એટલે હવે નવો નારો શરુ થયો કે બુરખા પર આમીરે શો બનાવવો  જોઈએ. બુરખો પહેરવામાં કોની હત્યા થઈ? કોઈ બુરખો પહેરવાની નાં પાડે અને તેની હત્યા ભારતમાં કરવામાં આવે તો આમીરે ચોક્કસ બતાવવું જોઈએ. બુરખો પહેરવાથી શું એબોર્શન થઈ જાય છે? કે સળગી જવાય છે? બુરખો પહેરાવવા માટે બળજબરી થતી હોય અત્યાચાર થતા હોય તો ચોક્કસ ખોટી વાત છે. સ્ત્રીઓનું બચપણમાં ધાર્મિક બ્રેઈન વોશિંગ કરવામાં આવે તો બુરખો એમના શોખથી પહેરતી હોય છે. હું અહીં મારા યુરોલોજીસ્ટ ડૉક્ટર પાસે જાઉં છું ત્યાં એમની દીકરી આધુનિક જીન્સ અને ટોપ સાથે માથે એક પણ બાલ નાં દેખાય તે રીતે માથું ઢાંકીને ફડફડાટ સ્પેનીશ અને ઇંગ્લીશમાં રિસેપ્શન કાઉન્ટર સંભાળતી હોય છે. હું પહેલીવાર અમેરિકા આવ્યો  ત્યારે પ્લેઇનમાં અમારી સાથે સ્વ. શમ્મીકપૂર, એમના ધર્મપત્ની અને આફતાબ શિવદાસાની હતા. શમ્મીકપુરના શ્રીમતીજી એ સાડી બરોબર માથે કવર કરીને રાખેલી હતી.
ઘણી સ્ત્રીઓની ખૂદની ઇચ્છા હોય છે કે તેમને પેટે દીકરો અવતરે. લગભગ સ્ત્રીને દીકરો જોઇતો હોય છે અને પુરુષને દીકરી વહાલી લાગતી હોય છે. આમ ઘણી બધી ગર્ભવતી માતાઓની પણ કન્યા ભૃણ હત્યામાં સંમતિ હોય છે. એમને પણ દીકરો જોઇતો હોય છે. માતા પણ સીધી સાદી ઓરત  છે એના પણ ગમા અણગમા હોય છે. એવરેજ માતાઓને દીકરો વધારે વહાલો હોય છે અને એવરેજ બાપને દીકરી વધુ વહાલી હોય છે. આવા અનેક  મુદ્દાઓ  આમીર ચાતરી ગયો છે. સમય ઓછો પડતો હશે કે ઘણા બધા મુદ્દા નાહક  વિવાદ જગાવી કોર્ટોના ચક્કર મારતો કરી દે તેવા હોવાથી જાણી જોઇને છોડી દીધા હશે. ભારતમાં ભણવાથી કોઈ એજ્યુકેટેડ બની જતું નથી. ભણવાથી કોઈ નૈતિક બની જતું નથી. માટે ડોક્ટર્સ અને તે પણ મહિલા ડોક્ટર્સમાં મુખેથી જે સંભાળવા મળ્યું તેમાં કોઈ નવું નથી, બીજી આશા પણ શું રાખી શકો? પૈસા માટે આ દેશનો કહેવાતો ઉચ્ચ ગણાતો નાગરિક ગમેતેટલી નીચી કક્ષાએ ઊતરવા તૈયાર છે તે સ્ટીંગ ઓપરેશનમાં જોઈ લીધું ને? અને તે પણ ભણેલા ડોક્ટર્સ અને જેને લોકો ભગવાન માનતા હોય તેવા, એમાં પાછી મહિલા ડોક્ટર્સ.  કહેવાતા ભગવાનોએ આ દેશનું સત્યાનાશ વાળી નાખ્યું છે.
પણ અહીં રિવાજ છે કે બીમારીઓ ગરીબોને માથે નાખી દો. અભણનાં માથે નાખી દો. કોઈ પણ પ્રશ્ન આવે કે પહેલો ઉત્તર એ હોય કે એજ્યુકેશનનો અભાવ છે માટે આવું થાય છે. ગરીબો પાસે કે અભણો પાસે દહેજ આપવા કે માંગવા જેટલી હેસિયત હોય ખરી?? ઑર્થોપેડિક સર્જન જ એના ભણતરનો ખર્ચ  કાઢવા દહેજ માંગે ને? અંધશ્રદ્ધાની વાત આવે કે ગરીબો અને અભણોને સુધારો. સચિનની ધરમ પત્ની પોતે ડૉક્ટર છે. એક હાથ ચાલાકી  કરતા જાદુગરમાં ગાંડો થતા રોકતી  નહિ હોય? નાં રોકે, પોતે પણ માનતી હશે. ભણતર અહીં ટેકનીકલ નૉલેજ છે જે ફક્ત કમાણીનું સાધન માત્ર છે, કોઈ માનસિક ચેતના ઊર્ધ્વ કરવાનો માર્ગ નથી. ઉચ્ચ ડિગ્રી કોઈ નૈતિકતાની ગેરંટી નથી. નાની નાની અંધશ્રદ્ધાઓ દૂર કરવાની કથા કરનારા મોટી અંધશ્રદ્ધા ફેલાવતા હોય છે. એમને કહેવાતા ભણેલાઓની અંધશ્રદ્ધા દેખાતી હોતી નથી કે આંખ આડા કાન કરતા હોય છે. ગરીબો વળી ક્યાં ગુરુ પૂનમે લાઈન લગાવી ઉભા રહેવાના હતા?
બાળકોનું જાતીય શોષણ ધાર્મિક સંસ્થાઓમાં ખૂબ થતું હોય છે. પણ એ બધું બહાર આવવું મુશ્કેલ. કોણ કહેવાનું? ક્યાંક  કોઈ કિસ્સા બહાર આવે તો ધાર્મિક સંસ્થાઓના આર્થિક રખેવાળો બધી વાત દબાવી દેવા પુષ્કળ પૈસા વાપરી નાખતા હોય છે. નાની ઉંમરના સંન્યાસીઓ જ્યાં રહેતા હોય ત્યાં ૧૦૦ ટકા બાલ સંતો અને સાધ્વીઓનું જાતીય શોષણ મોટા સંતો અને મુનિઓ કરવાના જ તે હકીકત છે. બ્રહ્મચર્યની બકવાસ અવૈજ્ઞાનિક માન્યતાઓએ અને નાની ઉંમરમાં સંન્યાસ આપવાની પ્રથાએ આ દેશના બાળકોને જીવતા દોજખમાં ઝીંકી દીધા છે. નાના બાળકોનું જાતીય શોષણ સગાવહાલાઓ દ્વારા વિશેષ થતું હોય છે. આત્મજ્ઞાનના ભારતને ચડેલા આફરાએ નાના બાળકોને પણ સંડોવી દીધા છે.  જે નાના બાળકોને સામાન્યજ્ઞાનની સમજ ના હોય તેને આત્મજ્ઞાનને રવાડે ચડાવી દેવા મૂર્ખામી નહિ તો બીજું શું? ભલભલાં પંડિતોને આત્મજ્ઞાન શું છે, સમજ નથી પડતી. જે નાના બાળકનું બચપણમાં જાતીય શોષણ થયું હોય તે મોટો થઈને બીજા બાળકનું જાતીય શોષણ કરવા પ્રેરાય પણ ખરો. એવા બાળકો મોટા થઈને ગે બની જવાની પણ શક્યતા છે. બચપણની પીડા જુવાનીમાં આનંદ અર્પતી પણ થઈ જાય. માનસ વિકૃત બની જવાની પૂરી શક્યતાઓ છે. ચાલો આમીરે બતાવેલા યુવાન હરીશે બીજી ચેનલ પર ગે હોવાનું કબૂલ્યું છે, પણ એનાથી બાળકોનું જાતીય શોષણ થાય છે તે મુદ્દો ઉડી થોડો જવાનો છે? બીજી ટીવી ચેનલ પર હરીશે એના પર સાત વર્ષનો હતો ત્યારથી જાતીય શોષણ થતું હતું તે જણાવ્યું જ છે. હરીશ સાત વર્ષનો હતો ત્યારે તો ગે નહિ હોય. એના માસાએ એનું શોષણ કરી એને ગે બનાવી દીધો. એની માતા બોલી ગઈ હતી કે એમની બહેનની જિંદગીનો સવાલ હતો માટે માસાજી સંડોવાયા હતા તેવું અનુમાન કરી શકાય તેમ છે.
બાળકોના જાતીય શોષણ બાબતે સજા કરવાના કોઈ મજબૂત કાયદા ઘણા બધા દેશોમાં નથી હોતા. એમાં ભારત પણ સામેલ છે તે જાણી નવાઈ લાગે તેવું છે. બાળકના મુખમાં જાતીય અંગ નાખવું તેને હાઇકોર્ટનો જજ ગુનો માનતો નથી, પેનીટ્રેશન સાબિત નથી થતું  તે મહાશયના મનમાં. કે પછી બેંક બેલેન્સ ખાનગીમાં વધી ગયું હોઈ શકે. ફરી કહું કે આ દેશમાં પૈસા માટે ગમે તેટલી નીચ કક્ષાએ પહોચી જવા કહેવાતો ઉચ્ચ કક્ષાનો માણસ પહોચી જવા તૈયાર હોય છે. હમણાં એક ડૉક્ટર ગર્ભપાત કરેલા ભૃણની સાબિતી ના રહે માટે એના કૂતરાને ખવડાવી દેતો હતો. પૈસાને પાપ માનતી પ્રજા જ પૈસાની પાછળ પડેલી છે. છતાં કાળા વાદળને એક રૂપેરી કોર જરૂર હોય છે. શોષિતોની સેવા કરનારી ઘણી સંસ્થાઓ હોય છે. એમના માટે લડનારી સંસ્થાઓ અને વ્યક્તિઓ પણ હોય છે. આવી સંસ્થાઓને કામ કરવા પૈસાનું ભંડોળ જોઈએ તેને આમિરના શો દ્વારા મદદ મળવાની છે. એસ.એમ.એસ દ્વારા મળનારી રકમ  જેટલી બીજી રકમ રિલાયન્સ ફાઉન્ડેશન ઉમેરીને આપશે.
ધરમ, કરમ, પુનર્જન્મ, લોકપરલોક, કરમના ફળ આવી અનેક બાબતોના અફીણ ઘોળીને સુતેલી પ્રજાને જગાડવાનું કામ આજ સુધી અનેક સુધારકો કરતા આવ્યા છે તેમાં એક નામ આમિરનું ઉમેરાઈ જશે બીજું શું??

પ્રેમ, રસાયણોનો ફુવારો. Hard Truths About Human Nature.

પ્રેમ, રસાયણોનો ફુવારો. Hard Truths About Human Nature.

પ્રેમ વિષે ખૂબ લખાય છે. પણ પ્રેમ પેદા કરતા રસાયણો વિષે કશું ખાસ લખાતું નથી. પ્રેમ હૃદયથી થાય છે તેવું માનનારા સમજી લે કે હૃદય ખાલી શરીરમાં લોહી ફેરવનારો પંપ માત્ર છે. જેને આપણે પ્રેમની પરિભાષામાં હૃદય તરીકે ઓળખીએ છીએ તે બ્રેનમાં રહેલા લાગણી અને કલ્પના વિભાગ છે. પ્રેમ માટે કારણભૂત અનેક રસાયણો છે. પ્રે

પ્રેમ સાદી ભાષામાં કહીએ તો કેમિકલ લોચા છે. એ ખાલી નારંગીનો રસ નથી, પણ નારંગી, મોસંબી, કેરી, પાઈનેપલ, એમ જુદાજુદા ફળોના રસનું કૉકટેલ છે. પ્રેમ હંમેશા સુખ આપતો નથી. પ્રેમીઓને દુખી દુખી કરી મૂકવાની એની તાસીર સમજી લેવી જોઈએ. આ તાસીર સમજવા મૅમલ બ્રેનની તાસીર સમજી લેવી જરૂરી છે. પ્રેમમાં કાયમ ચડાવ ઉતાર કેમ થતા હશે ? સતત પ્રેમના સુખમાં કેમ જિવાતું નથી ?

Love triggers Dopamine:  Dopamine એક સુંદર લાગણી છે જ્યારે તમને કોઈ ખોવાયેલી ચાવી જડી જાય. બસ આ ખોવાયેલી ચાવી બ્રેન કાયમ શોધ્યા કરતું હોય છે. પ્રાણીઓ કાયમ ખોરાક અને સમાગમની  શોધમાં ફર્યા કરતા હોય છે. અને જ્યારે આ જરૂરિયાત પૂરી થાય કે તરત ન્યુરોકેમિકલ ડોપમીન મોજું ધસી આવે છે. પણ આ કાયમ મૌજા હી મૌજા નાં હોય. આ મોજું આ ફુવારો બહુ નાનો હોય. મોજું ઊંચે જઈને નીચે પછડાય તે એની જૉબ છે. તમારી જરૂરિયાત ફરી પૂરી કરવા માટે એક તક સૂચવે છે. એટલે આપણને જ્યારે કોઈ ચાવી મળી જાય એટલે આપણે સુખનો અનુભવ કરતા હોઈએ છીએ. પણ આ સુખ કાયમ ટકી રહે, મોજું ઊંચે ચડી રહે નીચે આવેજ નહિ તેવું વિચારીએ છીએ. અહીં માર ખાઈ જઈએ છીએ.

આપણને કોઈ પ્રેમી પાત્ર મળી જાય ત્યારે એનું સુખ કાયમ મળતું રહે તેવી ઇચ્છા ધરાવતા હોઈએ છીએ. પણ સુખનું મોજું કાયમ ઊંચે ચડેલું રહે નહિ, ત્યારે આપણે પ્રેમી પાત્રને બ્લેમ કરતા હોઈએ છીએ કે આ બદલાઈ ગયું છે. ભાઈ કોઈ બદલાઈ જતું નથી નાં આપણે નાં આપણું પ્રેમી. અને એનો અર્થ એવો નથી કે ડોપમીન લાગણી મેળવવા કાયમ પ્રેમીજન બદલતા રહીએ. કહેવાનો મતલબ એટલો જ છે કે કાયમ આ મોજું  ઊંચે ચડેલું રહે તે રીતે આપણે ઈવૉલ્વ થયેલા જ નથી.

Love triggers Oxytocin:  ઑક્સિટોસિન ન્યુરોકેમિકલ વિશ્વાસનું જનક છે. Orgasm સમયે તેનો સ્ત્રાવ થતો હોય છે. જ્યારે પ્રેમીજનનો હાથ હાથમાં લઈએ ત્યારે થોડી માત્રામાં તે સ્ત્રવે છે. પ્રાણીઓ તેમના બચ્ચાને ચાટતાં હોય ત્યારે પણ તે સ્ત્રવે છે. માતા બાળકને ધવરાવતી વખતે એના માથે હાથ ફેરવતી હોય ત્યારે પણ એનો સ્ત્રાવ થતો હોય છે જે અદ્ભુત આનંદ અર્પે છે.

આપણી મનપસંદ રાજકીય પાર્ટી જીતે ત્યારે અને ક્રિકેટ મેચ જીતી જઈએ ત્યારે નીકળતી રેલી અને ધમાલ વખતે પણ આનો સ્ત્રાવ થતો હોય છે. મૅમલ પ્રાણીઓ કાયમ ઑક્સિટોસિન રિલીસ કરતા હોય છે. સગાઓ સાથે અને પોતાના સમૂહ સાથે જોડાણ અનુભવે કે તરત આનો સ્ત્રાવ થવાનો. જે વ્યક્તિ સાથે જેટલું વધારે જોડાણ અનુભવો તેટલો આનો સ્ત્રાવ વધુ થવાનો. More touch, more oxytocin, more trust. પણ હ્યુમન બ્રેન માટે ટ્રસ્ટ ખૂબ કૉમ્પ્લિકેટેડ હોય છે.

આપણી અપેક્ષાઓ પ્રમાણે આપણે કોઈના ઉપર વિશ્વાસ કરતા હોઈએ છીએ, અને આપણી અપેક્ષાઓ એટલી બધી ગૂંચવાડા ભરેલી હોય છે તેનો કોઈ અંદાજ આપણને હોતો નથી. કાળક્રમે આપણું પ્રેમીજન આપણી અપેક્ષાઓ પૂરી કરવા માટે નિષ્ફળ જતું હોય છે. તેમ આપણે પણ એની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે કાયમ સફળ થતા નથી.

આપણાં મૅમલ બ્રેન માટે વિશ્વાસ ગુમાવવો જીવલેણ કટોકટી હોય છે, લાઇફ થ્રેટનીંગ. એક ઘેટું એના ટોળાથી છૂટું પડી જાય તો એનું ઑક્સિટોસિન નીચું ઊતરી જાય છે, અને cortisol ઊંચે ચડી જાય છે. જે એને ભય પમાડે છે. જેથી ઘેટું મોટીવેટ થાય કે કોઈ જીવતું ચાવી જાય તે પહેલા ટોળામાં પાછું જતું રહે. માનવની કોઈ અપેક્ષા પુરી થાય નહીં તો cortisol મૅમલ બ્રેન માટે ઇમર્જન્સી ઊભી કરી દેતું હોય છે. જે સર્વાઇવલ માટે જરુરી હોય છે.

Love triggers serotonin:  માનસન્માન મળે તો અદ્ભુત આનંદ આવતો હોય છે, તેનું કારણ છે સેરોટોનિનનો સ્ત્રાવ. પ્રાણી જગતમાં સામાજિક સર્વોપરિતા સમાગમની સાથે સાથે વંશ વારસોના સર્વાઇવલની તક વધારી દેતું હોય છે. કોઈ સચેતન રીતે લાંબા સમયના લક્ષ્યને લીધે પ્રાણીઓ એકબીજા ઉપર ધાક જમાવે છે તેવું નથી, તેઓ ધાક જમાવે છે કે સિરોટોનિન આનંદ અર્પે છે. જ્યારે કોઈ આપણાં સ્ટૅટ્સ માન મોભાને સન્માને છે ત્યારે આપણે ખુશી અનુભવીએ છીએ.

હાઈ-સ્ટૅટ્સ, માન મોભો સમાગમની તકો વધારી દે છે તે હકીકત છે. પ્રિયજન આપણને માનસન્માન આપે છે. આપણો મોભો વધારે છે. બીજા લોકો આ રીતે સન્માન આપે તેમાં મદદરૂપ પણ થાય છે. પણ આપણું બ્રેન કાયમ વધારે ને વધારે માન સન્માન મેળવીને વધારે ને વધારે સિરોટોનિન આનંદ ઇચ્છતું હોય છે. જેટલું વધારે માન મળે તેટલું વધારે સુખ મળતું હોય છે આમ માન મેળવાની ઇચ્છા વધતી જતી હોય છે. એટલાં માટે લોકો એમના પ્રિયજન પાસે સતત ડિમાન્ડ કર્યા જ કરતા હોય છે. જેટલી ડિમાન્ડ પૂરી થાય તેટલું વધારે માન મળ્યું તેમ સમજાતું હોય છે. બસ અહીં માર ખાઈ જવાય છે. કાયમ અપેક્ષા કે ડિમાન્ડ પૂરી થાય તેવું બને નહિ.

પ્રાણીઓ સમાગમ માટે સાથીની બાબતે ખાસ પસંદગી ધરાવતા હોય છે. Free love is not the way of nature. એક પ્રાથમિક કસોટીમાં ઉત્તીર્ણ થવું સેક્સ માટે જરૂરી હોય છે. માદા સક્રિય રીતે  ફળદ્રુપ હોય ત્યારે પ્રાણીઓ સમાગમ કરતા હોય છે. ફીમેલ ચિમ્પૅન્ઝી દર પાંચ વર્ષે જ સમાગમ કરતી હોય છે. બાકીના સમયમાં તે ગર્ભવતી હોય કે એના બચ્ચાને ઉછેરતી હોય. માદા ચિમ્પૅન્ઝી દર પાંચ વર્ષે હીટમાં આવતી હોય છે. ઑવુલ્યેશન વગર નર ચિમ્પૅન્ઝી માદામાં રસ લેતા નથી. પણ  જ્યારે આ તક ઊભી થાય છે ત્યારે તેઓ કોઈ પણ ભોગે તેને ઝડપી લેવા તૈયાર થઈ જતા હોય છે.

વંશ વારસો પેદા કરવા માટે પ્રોત્સાહક બને તે રીતે હૅપી કેમિકલ ઈવૉલ્વ થયેલા હોય છે. લાખો વર્ષ લાગી કુદરતના રાજમાં બચ્ચા બહુ બચતા નહિ. જાતજાતની બીમારીઓ અને અસલામત, નિષ્ઠુર જંગલના કાનૂન હેઠળ જેટલા વધુ બાળકો પેદા થાય તેટલા સારા તેવું હતું. એમાંથી જે બચ્યા તે ખરા. ભલે આજે બર્થ કંટ્રોલના જમાનામાં તમે બાળકો પેદા કરવાનું બહુ વિચારતા ના હોવ પણ તમારું મૅમલ બ્રેન એ રીતે જ ઇવોલ્વ થયેલું છે કે જેટલા વારસો પેદા થાય તેટલા વધુ સારું. Natural selection created a brain that rewards reproductive behavior with happy chemicals.

પ્રેમ પ્રોત્સાહન છે રીપ્રૉડક્શન માટે. એટલાં માટે તે પુષ્કળ હૅપી રસાયણનો સ્ત્રાવ કરે છે. રીપ્રૉડક્ટિવ બિહેવ્યર માટે સેક્સ સમાગમ ફક્ત એક પાસું છે. પ્રેમ ખૂબ મહત્વનું પાસું છે, તે પ્રેરણા આપે છે જેથી આપણે આપણાં પ્રિયજન આડે આવતા મોટા પહાડોને દૂર કરી શકીએ. અને ઉત્ક્રાંતિનો ક્રમ સચવાય તે માટે વંશ વારસનું  બચવું પણ તેટલું જ મહત્વનું છે. એને માટે જરૂરી છે ઉચ્ચ કોટીના સાથીદાર પર વિશ્વાસ અને ભાવનાત્મક અટૅચમન્ટ. બસ આ બધું ભેગું મેળવવા માટે ન્યુરોકેમીકલ્સ એમની જૉબ કરતા હોય છે બીજું કઈ નહિ. હવે આ કેમિકલ્સ કોઈ ભાષાકીય શબ્દો વાપરવાનું જાણતા નથી, અને આપણે પાગલ પ્રોત્સાહક વર્તણૂક માટે શબ્દો શોધીએ છીએ.

હૅપી કેમિકલ આપણને એવી માહિતી અર્પતા હોય છે કે જેની વ્યાખ્યા કરવી મુશ્કેલ હોય છે. માનો કે ટીવી પર મેચ જોતા હોઈએ. સચિન ૧૦૦મિ સદી પૂરી કરવા જઈ રહ્યો હોય. સ્ટેડિઅમમાં  હજારો લોકો ઉત્તેજિત હોય. આપણે પણ અહીં ઘરમાં ઉત્તેજિત બનીને ખુશીના માર્યા ઝૂમતા હોઈએ. આપણે સમજતા હોઈએ કે હજારો લોકો મારા રિઍક્શનને સમજે છે સાથ આપે છે, ત્યારે શ્રીમતીજીને એમાં કોઈ રસ ના હોય તો એવું  ફીલ થાય કે લાખો લોકો મારી સાથે છે તો આ ઘરના માણસને શું થયું છે ? રાજકારણ, ધર્મ, સ્પૉર્ટ્સ અને બીજી સામૂહિક ઍક્ટિવિટિ ઑક્સિટોસિન સ્ત્રાવ માટે કારણભૂત હોય છે. આપણને એક વિશ્વાસ પેદા થતો હોય છે.

આપણને સુખ અર્પતા કેમિકલ્સ કાયમ જોઈતાં હોય છે. થોડા રૉમૅન્સ દ્વારા જોઈતાં હોય છે થોડા જીવનના બીજા પાસા દ્વારા, નો મૅટર ગમે ત્યાંથી. હૅપી રસાયણનો ફુવારો છૂટે છે અને બંધ થઈ જાય છે, પણ શામાટે તે સમજાઈ જાય તો આપણે ન્યુરોકેમિકલ્સ સિગ્નલ વડે કન્ફ્યૂઝ થવાને બદલે આપણી વર્તણૂક મૅનેજ કરી શકીએ તેમ છીએ. ૨૦૦ મિલ્યન્સ વર્ષની લાંબી દડમજલ કરીને આ મૅમલ બ્રેન વિકસેલું છે. એને તમે સમજી શકો પણ જીતી ના શકો.

હા! તો પોતાની જાતને કે પ્રિયજનને બ્લેમ કરવાની જરૂર જ નથી કે કાયમ હૅપી કેમિકલ્સ સ્ત્રાવ થવાનો જ નથી. May be nothing is wrong; you are just living with the operating system that has kept mammals alive for millions of years. 

અપત્યકામ, અમરત્વની શોધમાં.Hard Truths About Human Nature.

ગાંધી પરિધાન.

દુનિયાના કોઈ પણ ખૂણે કોઈને પણ પૂછો, બાળકો કોણ નહિ ઇચ્છતું હોય? દરેકને એક બાળક હોય તેવું તો ઇચ્છતા જ હોય છે. એકાદ બાળક વગર જીવન અસફળ છે તેવું લાગતું હોય છે. સંતાનો મોટા થતાં આપણે તેમને પરણાવી દેવાની ચિંતામાં પડી જતા હોઈએ છીએ. દાદા દાદી માથુ ખાઈ જતા હોય છે કે ભાઈ ક્યારે પરણીશ? પૌત્રનું મોઢું જોઈને મરવું છે. પૌત્રનાં લગ્ન હોય તો દાદા દાદીનો હરખ માતાપિતા કરતા બમણો હોય છે. બાળકો આપણી મરણશીલતા સામે ઢાલ હોય છે. અપ્ત્યકામ એટલે સંતાનપ્રાપ્તિની ઇચ્છા દરેક સજીવના જિન્સમાં કુદરતે મુકેલી હોય છે.

Arnaud Wisman (The University of Kent)અને Jamie Goldenberg (The University of South Florida) દ્વારા કરાયેલા સંશોધન મુજબ ભાગ લેનારા વ્યક્તિઓને નકારાત્મક વિચારો જેવાકે મૃત્યુ, અસફલતા, પીડા અને દુઃખ વિષે લખવાનું કહેવામાં આવ્યું, સાથે આવા વિચારો સમયે કેટલા બાળકો રીયલ લાઇફમાં હોય અને કેટલા ફેન્ટસીમાં હોય તે વિષે લખવાનું જણાવવામાં આવ્યું. પરિણામ એ આવ્યું કે જેમ મૃત્યુનો વિચાર વધુ તેમ વધુ બાળકો હોય તેવું ઇચ્છવામાં આવેલું. વ્યવસાયિ પુરુષોની ઇચ્છામાં કોઈ ફરક નહોતો, પણ વ્યવસાયિ સ્ત્રીઓ જેમને એમની કારકિર્દી અને પ્રગતિને વધુ ધ્યાનમાં લીધેલી તેઓએ બાળકો ખાસ ઇચ્છેલા નહિ. હ! એમની પ્રગતિ કે કારકિર્દીમાં અડચણરૂપ નાં હોય તો બાળકો હોય એમાં શું વાંધો હોય? આમ બાળક હોવું તે દરેક સ્ત્રી પુરુષની આદિમ ઇચ્છા હોય છે.

આવોજ પ્રયોગ ડચ અને જર્મન નાગરિકો સાથે પણ કરાયેલો.

બે મૂળભૂત સરહદો જન્મ અને મૃત્યુ વચ્ચે માનવીનું જીવન વ્યતીત થતું હોય છે. પોતાની જાતના મૃત્યુની અનિવાર્યતાનો સામનો  કરવો તે માનવી માટે ખૂબ તણાવયુક્ત હોય છે. સાથે સાથે માનવી પાસે એક અદ્ભુત ક્ષમતા પણ છે જે નવું જીવન પેદા કરી શકે છે. માનવી પોતાનો જીવન સમય લંબાવી શકતો નથી, પણ એક બાળક પેદા કરી, એક નવું જીવન પેદા કરી તેને ઉછેરીને પોતાના ભવિષ્યના અમરત્વની ઓળખ મૂકતો જતો હોય છે. આ ચક્ર ચાલતું રહે છે તેને જ અમરતા કહેવાય.

Terror management theory (TMT), થિયરીના જનક Cultural anthropologist Ernest Becker કહે છે કલ્ચર અને ગૃપ રિલેટેડ બિહેવિયરનાં મૂળિયાં self-preservation મોટિવમાં રહેલા છે. મૃત્યુ માનવ અસ્તિત્વ સામે એક મૂળભૂત પડકાર છે. ટૅરર મૅનેજમેન્ટ એક બેસિક સર્વાઈવલ નીડ છે. બાળકો પેદા કરવા તે પણ બેસિક સર્વાઈવલ નીડ બની જાય છે. ભવિષ્યની આગોતર યોજના. બાળકો આપણા ભવિષ્યના અસ્તિત્વના પુરાવા છે. આમ બાળકો થકી આપણે અમર છીએ. કુદરતના કાનૂન સ્ટ્રેઈટ ફૉર્વર્ડ છે, જન્મ થયા પછી પાછાં ફરવાનો કોઈ રસ્તો હોતો નથી. આગે મોત હી હૈ. અને ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે તે કોઈ જાણી શકતું નથી. એટલે જેવો માનવી સમજણો થાય કે તરત એના મૃત્યુ વિષે વિચાર કરતો થઈ જવાનો અને એની નશ્વરતા સામે કોઈ ઉપાય હોય તેની શોધ કરવામાં લાગી જવાનો. ફીયર ઑફ ડેથ(ટૅરર) માનવને નવું જીવન પેદા કરવા પ્રેરતું હોય છે. આપણા બાળકો પ્રતિકાત્મકરૂપે આપણી અમરતાની નિશાની છે. એક બાળકને જન્મ આપીને અમરતાને જન્મ આપીએ છીએ.

મૃત્યુ વિશેનું ચિંતન આપણાં દેશ જેટલું બીજા કોઈ દેશે કર્યું નહિ હોય. મોક્ષ અને અમૃત વિષે પણ આપણા દેશ જેટલું ચિંતન કોઈએ નહિ કર્યું હોય. આત્માની અમરતા વિશેના શ્લોકો પણ આપણે જ સહુથી વધુ ગાઈએ છીએ. મૃત્યુથી સૌથી વધુ ભય પણ આપણે પામીએ છીએ. અચાનક અને સમજી ના શકાય તેવી આવી પડનારી આફતો સામે કોઈ રક્ષણ કરનાર હોય તેમાંથી ભગવાનની અને ધર્મની કલ્પના આવી હોઈ શકે. સેંકડો વર્ષ લાગી વિદેશીઓના આક્રમણો, મૃત્યુ વિશેનું વધારે પડતું ચિંતન, સામે અમરતા અને મોક્ષનું ચિંતન, કમજોર સજીવ ખૂબ વસ્તી વધારે જેથી સર્વાઈવ થઈ જવાય આ બધું ભેગું થઈને ભારત એક પ્રચંડ વસ્તી વિસ્ફોટ કરી બેઠું છે. અમરતાનો અણુબૉમ્બ ખતરનાક બની ચૂક્યો છે.

લોભ જરૂરી, પણ અતિ નહિ. Hard Truths About Human Nature.

Statue representing Siddhartha Gautama.
Image via Wikipedia
લોભ જરૂરી, પણ અતિ નહિ. Hard Truths About Human Nature.
લોભ આજકાલ ગરમાગરમ ટૉપિક છે. ભારતના લોભીયાઓએ ૧૫૦૦ બિલિયન ડોલર્સ સ્વીસ બેન્કોમાં ખડકી દઈને ભારતને ભિખારી બનાવી દીધું છે. રાજાનું ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ, કલમાડીનાં  કૌભાંડની રમતગમત, આવા તો અનેક કૌભાંડો રોજ બહાર આવે જ જાય છે. ભૌતિકવાદને સતત વખોડનારો મહાન ધાર્મિક દેશ આજે લાલચ અને લોભના મહાસમુદ્રમાં ડૂબી રહ્યો છે.
લોભ સર્વવ્યાપક છે. આવા અતિલોભના કારણે અમેરિકા પણ ડૂબી રહ્યું છે. Bernie Madoff નું પચાસ બિલિયન ડોલર્સનું કૌભાંડ, વોલસ્ટ્રીટનું ભાંગી પડવું, AIG સ્કેન્ડલ, પોતાનું ઘર હોવું તેવા અમેરિકન ડ્રીમ નો ફુગ્ગો ફૂટી જવો, રોજ એક નવી બેંક ડૂબી જવાના સમાચાર, આખી દુનિયાના જમાદાર બની રહેવાની અમેરિકન પ્રમુખોની લાલચ આ બધું ભેગું થઈને અમેરિકા પણ મહામંદીનાં ચક્કરમાં ફસાઈ ગયું છે.  St. Thomas Aquinas કહે છે લોભ ભગવાન સામે કરેલો અપરાધ છે, પાપ છે.
 ગૌતમ બુદ્ધ જેને તૃષ્ણા કહેતા હોય છે તેની સાથે આ લોભ અને અકરાંતિયાપણું સંકળાયેલા લાગે છે. દ્રવ્ય લોભ, અતિતૃષ્ણા, લાલસા, ખાઉધરાપણું આ બધાનો કોઈ અંત હોતો નથી. કદી સંતોષાય નહિ તેવી આ બધી લાગણીઓ છે. અને માનવજાતના બધા દુઃખોનું મૂળ આ અતિતૃષ્ણા છે તેવું બુદ્ધ કહેતા. આ લોભ લાલસા સ્વાર્થીપણા સાથે જોડાયેલા હોય છે. એડીક્શન પણ એક જાતનું લોભનું, લાલસાનું સ્વાર્થી રૂપ જ છે. એડીક્ટ માણસ એના દુખ, બેચેની અને ચિંતા મુક્ત થવા જાત જાતના વ્યસન સ્વીકારી લેતો હોય છે, પછી ભલે તે ડ્રગ્ઝ હોય, સેક્સ હોય, જુગાર હોય, ખોરાક હોય, પોર્નોગ્રાફી, ઇન્ટરનેટ, ટેલિવિઝન, તમાકુ, સિગારેટ, પાવર અને પૈસો પણ હોઈ શકે છે. દરેકને પોતાના એડીક્શન  હોય છે,  workaholism, shopaholism , perfectionism વગેરે વગેરે. ધર્મ પણ એડીક્શન બની જતો હોય છે. આ બધામાંથી માનવ વધારે ને વધારે આનંદ ઇચ્છતો હોય છે. આ બધા વડે આપણે આપણી મનમાં ઊંડે ધરબાયેલી ઇચ્છાઓ  સંતૃપ્ત કરવાના વ્યર્થ પ્રયત્નો કરતા હોઈએ છીએ. આપણને બચપણ અને યુવાનીમાં મળેલા માનસિક આઘાતને ભરી દેવાના અથવા એના પ્રત્યે બહેરાં બની જવા પ્રયત્નો કરતા હોઈએ છીએ. ભાવનાત્મક ખાલીપણું જે અનુભવતા હોઈએ તેને સંતુષ્ટ કરવાના આ બધા વ્યર્થ પ્રયત્નો હોય છે. આ માનસિક જખમ અને self – defeating બિહેવિયરનાં મૂળિયા છેક બચપણમાં સમાયેલા હોય છે.
   Greed is a type of selfishness. આપણને બચપણથી શીખવવામાં આવે છે કે લોભ પાપનું મૂળ છે. શું લોભ કાયમ માટે ખરાબ, નકારાત્મક, અસામાજિક હોય છે? કોઈ વાર તંદુરસ્ત, જરૂરી, હકારાત્મક હોઈ ના શકે? જે લોકો આત્મકલ્યાણ, મોક્ષ, આત્મ સાક્ષાત્કાર, કૈવલ્ય કે નિર્વાણની શોધમાં સંસાર છોડી જતા રહેતા હોય છે તે લોકો પરમ સ્વાર્થી છે. એમાંથી થોડા લોકો, સાવ ગણ્યા ગાંઠ્યા લોકો પાછાં આવીને બાકીના સમૂહ કે સમાજ માટે નિઃસ્વાર્થ બની કામ કરતા હોય છે. અમુક લોભિયા વળી આવા અધ્યાત્મને ધંધો બનાવી લોકોને લોભિયા ના બનવાની સલાહ આપી આપીને પોતે ધનના ઢગલા પર બેસી જતા હોય છે. એક બિનસત્તાવાર સમાચાર મુજબ મધ્ય ગુજરાતમાં એક બહુ મોટી કથા થઈ હતી. પૈસા ના લેતા કથાકાર ટ્રસ્ટના નામે આશરે ૮૦ લાખ રૂપિયા લઈ ગયા. મંડપનો કૉન્ટ્રેક્ટ એમનો જ હોય છે તેના ૧૮ લાખ ચાર્જ થયો. એક મિત્ર પાસેથી વાત સાંભળી છે, હું કદાચ ખોટો પણ હોઈ શકું. જોકે આ અત્યંત સાદા અને નમ્ર કથાકાર કુંભના મેળામાં વર્ષો પહેલાં કથા કરવા ગયેલા ત્યારે ૧૫ લાખના સિંહાસન પર બેસતા અને ૧ લાખના તંબુમાં રહેતા તે હકીકત છે. જોકે આયોજકો આવી વ્યવસ્થા કરતા હોય તેમાં એમનો શું વાંક?
   તર્ક એવો છે કે લોભ સારો છે જ્યારે સાધનસામગ્રી, પૂંજી, સંપત્તિ અને સહારો ઓછો થઈ ગયો હોય. આ બધાની અછત હોય ત્યારે સર્વાઈવલ માટે લોભ સારો છે. મતલબ જ્યારે સંપત્તિ કે રીસોર્સીસ ઓછા થઈ જાય ત્યાર સ્વાર્થની વૃત્તિ વધતી જાય તેવું હોવું જોઈએ. પણ થાય છે ઊલટું. સરેરાશ જોઈએ તો જેની પાસે ખૂબ સંપદા હોય છે તે વધુ લોભિયો હોય છે અને જે લોકો પાસે ખાસ કશું હોતું નથી તે લોકો ઓછા લોભિયા હોય છે. નવા સંશોધન (Piff, Kraus, Cote, Cheng, and Keltner, 2010 ) મુજબ જાણવામાં આવ્યું કે જે લોકો  પાસે લીમીટેડ રીસોર્સીસ હોય છે તે લોકો જુદી સ્ટ્રેટેજી પસંદ કરતા હોય છે, આ લોકો તેમના લીમીટેડ રીસોર્સીસ બીજા લોકોને વહેંચતા માલૂમ પડ્યા છે. આમ ઓછી સંપદા સ્વાર્થ અને લોભને ઓછી કરે છે તેનું કારણ શું? ખરેખર તો ગરીબ માણસ લોભી અને સ્વાર્થી હોવો જોઈએ, એના બદલે અમીર લોકો વધુ લોભિયા અને સ્વાર્થી હોય છે.
    ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટ શું કહે છે જોઈશું? જ્યારે લોકો પાસે બહુ ઓછા રીસોર્સીસ હોય ત્યારે એમની સ્થિતિ સર્વાઈવલ માટે બહુ નાજુક, નિર્બળ હોય છે. આસપાસના વાતાવરણમાં ટકી જવા માટે અસહાય હોય છે. આમ જ્યારે રીસોર્સીસ ઓછા હોવાથી રક્ષણ કરવા માટે અસમર્થ હોય ત્યારે લોકો એમના સામાજિક જોડાણ મજબૂત બનાવવા તરફ વધુ ધ્યાન આપતા હોય છે. ભલે લોહીનો નાતો નાં હોય પણ વિશ્વાસ, કરુણા, સહભાવ, સદભાવ અને સહાનૂભુતિ દ્વારા વિશિષ્ટ સંબંધો બનાવીને એક સામૂહિક સર્વાઈવલની પદ્ધતિ અખત્યાર કરતા હોય છે. જ્યારે પૈસો અને સંપદા ખૂબ વધી જાય ત્યારે તેવા લોકોની નજર બીજા પ્રત્યેથી હટી જાય છે. હવે બીજાની જરૂર ખાસ રહી નથી. આમ એમની બીજા પ્રત્યેથી લાગણી પણ ઓછી થઈ જતી હોય છે. હવે એની પાસે ખૂબ સંપત્તિ છે હવે બીજાનું શું કામ? આમ આ લોકો સંપત્તિ ઉપર વધુ આધાર રાખતા હોય છે સિવાય લોકો પર. આમ વધુ ને વધુ લોભી, સ્વાર્થી અને સંગ્રહખોર બનતા જતા હોય છે. જનરલી આવું જ બનતું હોય છે, આમાં પણ અપવાદ હોય છે ઘણા લોકો ખૂબ પૈસા કમાઈને ખૂબ ચેરિટી પણ કરતા હોય છે.
    લોભ ખાલી પૈસા, ધન કે સંપત્તિ પર આધાર નથી રાખતો. આપણે વધુ ધન ઇચ્છીએ છીએ કે ધન વડે સલામતી અને સ્વતંત્રતા પણ મેળવી શકીએ છીએ. આપણી જરૂરિયાતો માટે કોઈના ઉપર આધાર તો નાં રાખવો પડે? સામાન્ય જરૂરિયાતો સાથે વૈભવી મોજમજા પણ માણી શકાય છે. લોભ એટલે વધારે પડતી ધન કે કોઈ પણ વસ્તુ  માટેની ઇચ્છા કે પ્રેમ કે લાલસા ગણો. લોભી એની વસ્તુ કે પૈસા સાથે વધુ પડતો એટેચ થઈ ગયો હોય છે. એક ધનકુબેર વિષે હું વાંચતો હતો નામ યાદ રહ્યું નથી, એણે એની પત્નીને ડિવોર્સ આપી દીધેલા કે તેના કોસ્મેટીક્સનાં ખર્ચા એને પોસાતા નહોતા, એણે ચાલીસ વર્ષથી એનો કોટ બદલ્યો નહોતો. ઘણા બધા દેશોમાં એની હજારો એકર જમીનો હતી. વોરેન બફેટ બહુ સાદું જીવન વિતાવે છે તેવું વાંચીને આપણે અહોભાવમાં ગદગદિત થઈ જઈએ છીએ એવું તો નથી ને કે ભાઈ લોભિયા છે? સવાલ પૂછ્યો છે ખાલી. વળી કોઈ બફેટના આશકને ખોટું ના લાગી જાય. ચાલો મિત્રો લોભ વિષે થોડા મહાનુભાવો શું કહે છે તે વાંચો પણ પહેલું વાક્ય બફેટના વક્તવ્યથી જ શરુ કરો.
** I will tell you the secret to getting rich on Wall Street. You try to be greedy when others are fearful. And you try to be fearful when others are greedy. – Warren Buffett
**Greed is an imperfection that defiles the mind; hate is an imperfection that defiles the mind; delusion is an imperfection that defiles the mind. – Siddhartha Gautama
**In his love for the world, the greedy is like the silkworm: the more it wraps in its cocoon, the less it has of escaping from it, until it dies of grief. – Imam Muhammad al-Baqir
**Even the most beautiful scenery is no longer assured of our love after we have lived in it for three months, and some distant coast attracts our avarice: possessions are generally diminished by possession. – Friedrich Nietzsche
** Fraud is the daughter of greed.
** We’re all born brave, trusting and greedy, and most of us remain greedy. – Mignon McLaughlin
** Nothing makes us more vulnerable than loneliness, except greed, which does make us more vulnerable than loneliness. – Thomas Harris
** Stealing to eat ain’t criminal-stealing to be rich is. – Andrew Vachss, A Bomb Built in Hell
** There is no fire like passion, there is no shark like hatred, there is no snare like folly, there is no torrent like greed. – Siddhartha Gautama
**Earth provides enough to satisfy every man’s needs, but not every man’s greed. – Mahatma Gandhi
**The greed of gain has no time or limit to its capaciousness. Its one object is to produce and consume. It has pity neither for beautiful nature nor for living human beings. It is ruthlessly ready without a moment’s hesitation to crush beauty and life. – Rabindranath Tagore
**Greed is a bottomless pit which exhausts the person in an endless effort to satisfy the need without ever reaching satisfaction. – Erich Fromm, Escape From Freedom
**There are three gates to self-destructive hell: lust, anger, and greed. -Bhagavad Gita 16:21

રાસાયણિક તત્વજ્ઞાન-૬, સુખની જૈવિક પરિભાષા. ( Hard Truths About Human Nature)

રાસાયણિક તત્વજ્ઞાન-૬, સુખની જૈવિક પરિભાષા ( Hard Truths About Human Nature)

સુખની જૈવિક પરિભાષા

આપણા મેમલિઅન પૂર્વજોનાં જીવનમૃત્યુ વિશેના ભયાનક અનુભવો થકી આપણું બ્રેન સુખદુઃખ અર્પતા રસાયણો મુક્ત કરે છે અને તેના વડે સુખની, આનંદની કે દુઃખની અનુભૂતિ થાય છે તે હકીકત છે. આ હકીકત માનવીય લાગણીઓ માટે ધ્રુજાવે તેવું સત્ય છે. સુખ અર્પતા દરેક કેમિકલનો હેતુ સર્વાઇવલ માટેનો હોય છે. બ્રેન જ્યારે કોઈ ખાસ ફરજ બજાવવાની હોય ત્યારે જ હૅપી કેમિકલનો એક નાનો ડૉસ રિલીસ  કરતું હોય છે. આમ આપણને તો સદા સુખનો અનુભવ કરવો હોય છે, પણ તે શક્ય બનતું નથી. જો આ કેમિકલ્સ વિષે સામાન્ય સમાજ આવી જાય તો કોઈ ફિલૉસફી ના કરી શકે તે કામ આ સમજ કરી શકે તેમ છે.

બીજા પ્રત્યે શુભ ભાવના પેદા થવી તે માટે મૅમલ બ્રેન ઈવૉલ્વ થયેલું છે. આપણાં સરીસર્પ પૂર્વજો બીજા માટે સારું ફિલ કરતા નથી. સર્વાઇવલ માટે કામ લાગે તે માટે થઈને મૅમલ બ્રેને  હકારાત્મક ન્યુરો કેમિસ્ટ્રી વિકસાવેલી છે. છતાં કાયમ માટે બીજા મૅમલ ભાઈઓ માટે સદા હૂંફાળી અને પ્રેમાળ લાગણી પેદા થાય નહિ તે પણ હકીકત છે. આમ સર્વાઇવલ ઘણા બધા પરિબળો ઉપર આધાર રાખતું  હોવાથી મૅમલ બ્રેન કાયમ નિર્ણય લેવા ટેવાયેલું હોય છે કે એના માટે સારું કોણ છે કે જેના વડે સર્વાઇવલ માટે સહાય બને.

નાનું બ્રેન ધરાવતા મૅમલ ખોરાક, સાથીદાર (Mates), અને પ્રિડેટર એટલે કે હુમલાખોર વિષે ત્વરિત નિર્ણય લઈ લેતા હોય છે. પ્રાણીઓ ખોરાકની શોધમાં નીકળે તો હુમલાખોરની શક્યતા પણ વધી જાય. છતાં ખોરાકની શોધમાં નીકળવું તો પડે જ. હવે કયું અગત્યનું તે નિર્ણય લેવાનું કામ બ્રેને કરવું પડે. જેમ બ્રેન વધુ મોટું તેમ સામાજિક જોડાણ વધતું જાય છે. સામાજિક જોડાણ સંભવિત પ્રિડેટર થી બચાવે છે, અને સાથે સાથે ખોરાક અને સાથીદાર માટે હરીફાઈ પણ વધારે છે. આમ બ્રેન દરેક ખૂણો તપાસીને નિર્ણય લેતું હોય છે. બ્રેન નિર્ણય કઈ રીતે લેતું હશે ?

આપણે ઘરમાં જરૂર પડે લાઈટ ઑન ઑવ કરીએ છીએ તેમ ન્યુરો કેમિકલ્સનો સ્ત્રાવ ઑન ઑવ કરીને બ્રેન નિર્ણય લેવા ટેવાયેલું હોય છે. હૅપી કેમિકલ્સ એક રસ્તો છે શરીર માટે જણાવવાનો કે આ વસ્તુ સારી છે હજુ વધુ મેળવો. આપણે જન્મ લઈએ ત્યારથી ન્યુરૉન્સ વિદ્યુત સંદેશા મોકલવાનું શીખી ગયા હોય છે. જેના વડે હૅપી કેમિકલ્સનાં સ્ત્રાવ થતા હોય છે. આમ એક ન્યુઅરલ સર્કિટ તૈયાર થતી હોય છે જે ભવિષ્યમાં ફરજ બજાવવા તૈયાર હોય છે.

માનવોની સુખની પરિભાષા બીજા મૅમલ પ્રાણીઓ કરતા અલગ હોય છે. માનવીની સુખ પામવાની રીત પણ બીજા પ્રાણીઓ કરતા અલગ હોય છે. પ્રાણીઓ એમના ભૂતકાળના  અનુભવ પ્રમાણે પુનરાવર્તન કરતા હોય છે. જ્યારે મનુષ્ય નવા નવા રસ્તા શોધી કાઢવા ટેવાયેલો હોય છે. ભૂતકાળના અનુભવોમાં માનસિક રીતે તડજોડ કરીને મનુષ્ય નવા રસ્તા શોધી કાઢતો હોય છે. આમ ટૂંક સમયના સુખના બદલે લાંબા સમયનું સુખ મેળવવાની એની ખેવના વધતી જાય છે. કારણ એની પાસે બીજા પ્રાણીઓ કરતા વધુ મોટું બ્રેન અને વધુ ન્યુરૉન્સ છે.

પ્રાણીઓ સુખની કોઈ વ્યાખ્યા કરતા નથી. તેઓ સુખી નાં હોય તો વિચારતા નથી કે શું ખોટું થયું છે ? કે આ દુનિયાને શું થયું છે ? તેમને કોઈ આશ્ચર્ય થતું નથી. પણ મનુષ્ય પાસે ભૂતકાળના  અનુભવ, વર્તમાન સ્થિતિ અને કાલ્પનિક ભવિષ્ય સાથે ટકરાઈ જવા માટે પુષ્કળ ન્યુરૉન્સ છે. જેથી મનુષ્ય નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે. આમ સુખની માત્રા ઓછી થઈ જાય ત્યારે કુદરતી એની રાહ જોવાને બદલે આપણે કશું કરવા માંગતા હોય છીએ. થોભો અને રાહ જુઓ, ગીતાકારે આને જ અનાસક્ત યોગ કહ્યો લાગે છે શું માનવું છે મિત્રો ?

હ્યુમન બ્રેન એક પૅટર્ન શોધી કાઢતું હોય છે. આ પૅટર્ન પ્રમાણે સુખનાં ફુવારા મેળવવાની કાયમ ઇચ્છા રાખતું હોય છે. ઘણીવાર આ પ્રમાણે બનતું પણ હોય છે, પણ ઘણીવાર આપણે ખોટા પડતા હોઈએ છીએ અને એનો અંત દુઃખ સાથે પરિણમતો હોય છે. નીકળીએ છીએ સુખની શોધમાં અને મળે છે દુઃખ. આપણું કૉર્ટેક્સ હૅપી કેમિકલ્સ ઉપર કોઈ પણ જાતનો કાબુ ધરાવતું નથી. તે ખાલી સંકેતો મેળવી શકે છે. આ પૅટર્ન ક્યારેક ગૂંચવાડા વાળી હોય છે, કારણ તે એક જુદી દુનિયામાં ઉત્ક્રાંતિ પામેલી હોય છે.

આપણાં ન્યુરો કેમિકલ્સનાં સુર તાલ આપણાં DNA માટે શું સારું છે તેની સાથે જોડાયેલ હોય છે.   આપણાં પોતાના ઊંચા ખયાલ સાથે એને કોઈ લેવાદેવા નથી. એટલે સુખની શોધ દુઃખમાં પરિણમતી હોય છે. મૅમલ બ્રેન એવા નિર્ણય લેતું હોય છે જે કૉર્ટેક્સને ગલત લાગતા હોય છે, પણ લાંબા અંતરે જોઈએ તો DNA માટે સારા પણ હોઈ શકે. કોઈ સારા ઘરની દીકરી કોઈ મવાલી સાથે ભાગી જાય ત્યારે કૉર્ટેક્સને બહુ તકલીફ થતી હોય છે. પણ મોટાભાગે મૅમલ બ્રેઈન જીતી જતું હોય છે કેમકે તે હૅપી કેમિકલ્સ ઉપર કંટ્રોલ ધરાવતું હોય છે.

હા ! તો મિત્રો કેવી લાગી આ રાસાયણીક ગીતા ?

 

બાબા બનાવે બાબલા.

બાબા બનાવે બાબલા.
  આમતો બાબાનો અર્થ સાધુ સંત કે ગુરુ થતો હોય છે, પણ ગુજરાતી  લેક્સિકોન ડિક્ષનરી મુજબ એનો એક અર્થ લૂંટારો થાય છે. લગભગ બાબાઓ લૂંટવાનું જ કામ કરતા હોય છે માટે આવો અર્થ ભાષા શાસ્ત્રીઓ ગણતા હશે. બાબો શબ્દ વળી નાના બાળક જે છોકરો હોય તેના માટે વપરાય છે. ગામમાં ઘણા દિવસે જઈએ તો મિત્રો, સગા સંબંધીઓ પૂછે પણ ખરા કે તમારા બાબલા શું કરે છે? શું ભણે છે? આપણાં દીકરાઓ વિષે પૂછતાં હોય છે. દીકરી હોય તો પૂછે  બેબલી શું કરે છે? આમ બાબાઓને મોટા નાના ભણેલા કે અભણ સૌ બાબલા બની રહે તેમાં જ એમનું ભલું દેખાતું હોય છે.
    મળથી છલોછલ ભરેલો નિર્મળ બાબુડીઓ પણ જબરો જાદુગર. એ ય તમારે બેઠો હોય મોટા કીમતી સિંહાસન ઉપર, બાબલાઓ અને બેબલીઓ વારાફરતી હાથમાં માઇક લઈને બોલતા હોય, એકાદ પ્રણામથી ચાલે નહિ, કોટી કોટી પ્રણામ, બાબા તમારી કૃપાથી નોકરી મળી, એડમીશન મળી ગયું, પગ સારો થઈ ગયો, બંગલો મળી ગયો, સમાગમમાં આવવા માટે પૈસાની કે ટીકીટની વ્યવસ્થા થઈ ગઈ. બાબુડીઓ સમાગમ કરે છે, સમાગમનો અર્થ સહવાસ, એકઠા થવું, સહયોગ, મેળાપ, મિલન, પરિચય, પાસે આવવું વગેરે વગેરે થતા હોવાથી કોઈએ એના પ્રચલિત અર્થમાં અનર્થ કરવો નહિ. જેમકે બાબાનો અર્થ લુટારો પણ થાય છે છતાં પહેલો અર્થ મનમાં તો સાધુ સંત જ આવવાનો.
     બાબા રામદેવ જેવી સેઈમ મોડસ ઓપરેન્ડી. બાબા પગના તળિયે કે ઘૂંટણમાં દર્દ હતું પણ કપાલભાતિ કરવાથી મટી ગયું. બાબા આર્થરાઈટીસ હતો પણ ભસ્ત્રિકા કરવાથી મટી ગયો. એજ માઇક અને એજ પ્રલાપ. ખેર પ્રાણાયામ બ્રીધિંગ ટેક્નિક તરીકે સારી વાત છે અને આયુર્વેદ પણ અમુક સામાન્ય દર્દોમાં ઘણો સારું કામ આપે છે. હર્બલ મેડીસીન તરીકે વિખ્યાત છે, ઓછામાં ઓછી સાઇડ ઇફેક્ટ સાથે ક્રોનિક દર્દોમાં ઘણું સારું પરિણામ આપે છે. મને સૂકી ખાંસી થાય તો કફ સિરપ કરતા સિતોપલાદિ ચૂર્ણ વધુ માફક આવે છે. મારું માઇગ્રેન અને સૂર્યાવર્ત કોઈ પેઇન કીલરથી મટતું નહોતું, આયુર્વેદે મટાડી દીધેલું. પણ કેન્સર કે હાર્ટ ઍટેક કે બીજા કોઈ ગંભીર રોગોમાં કામ ના પણ લાગે. જોકે અહી નિર્મળ બાબુડીઓ તો કોઈ દવા વગર અને હાથ પણ લગાડ્યા વગર જ બધું મટાડી દે તો નકામાં કડવા ચૂરણ શું કામ ફાંકવા??બાબા રામદેવ ચેતો??
       બાબુને  ગ્લોરીફાય કરતો બકવાસ બંધ થાય એટલે બાબુ કહેશે ચાલો કાળા કલરના પર્સ, વોલેટ બહાર કાઢો અને ખોલીને સામે ધરી રાખો, બાબો હાથ હલાવે, પર્સ ધરીને બેઠેલી બબૂચક જનતાના મુખ પરના ભાવ જોવાની  મજા આવે, લાલચુઓ વગર મહેનતે પર્સ પૈસાથી ભરી દેવાની ખેવના રાખતા જાણે હાલ પર્સ અને ઘરની તિજોરીઓ ભરાઈ જવાની. કોઈ બબૂચકને પ્રશ્ન મનમાં ઉદ્ભવે નહી કે બાબો એના ઘરની તિજોરીને કાળા રંગે રંગીને હાથ હલાવીને કેમ નથ ભરી દે તો? શા માટે સમાગમમાં હાજરી આપવાની તગડી ૨૦૦૦ રૂપિયા ઍડ્વાન્સમાં ફીસ વસુલે છે? એના બેંક એકાઉન્ટ નંબરમાં પૈસા ભરી દેવાના પછી SMS આવે, અને તે માટે મોબાઈલ નાં હોય તો પહેલા મોબાઈલ ખરીદો. સમાગમ વખતે બૅન્કમાં પૈસા ભર્યાનું ચલન રાખવાનું સાથે એક વેલીડ આઈડી પણ રાખવાનું. બાકી નો એન્ટ્રી. આટલાં બધા મહાન બાબા હોય તે દેશ આજે ગરીબ અને લાખો લોકો પાસે નાં ઘર છે નાં પૂરું ખાવાનું.
   વર્ષો પહેલા હું નાનો હતો ત્યારે વિજાપુરમાં રહેતા હતા. તે સમયે ખેરાલુ બાપુનું વાવાઝોડું ટૂંક સમય માટે આવેલું. બાપુ પાણીમાં ફૂંક મારીને પીવા આપતા અને લોકોના અસાધ્ય રોગ મટી જતા. કદાચ બાપુના પવિત્ર મુખમાં રહેલા બેક્ટેરિયા રોગ મટાડવાનું દુર્લભ કામ કરતા હશે. ઘેલા ગુજરાતમાં વળી પૂછે કોણ? ધંધો એટલો બધો ચાલ્યો કે વ્યક્તિગત પાણીના શીશામાં ફૂંક મારીને બેક્ટેરિયા ફેલાવવાનો સમય ઓછો પાડવા લાગ્યો. તો બાપુએ મેદાનમાં લોકોને એકઠા કરીને માઇલો સુધી પહોચે તેવી ફૂંક મારવાનું શરુ કરેલું. અમારી પડોશમાં એક પી.ડબ્લ્યુ.ડી. ખાતામાં નોકરી કરતા સિવિલ એન્જીનીયર રહેતા હતા, તે વળી આખી જીપ ભરીને પાણીના બાટલા લઈને ત્યાં પહોચી ગયેલા. બાપુએ બે માઈલ  દૂરથી ફૂંક મારીને પાણી પવિત્ર કરી નાખેલું. જાણે ઇડરિયો ગઢ જીતીને આવ્યા હોય અને પરોપકાર કરતા હોય તેમ આખા દેવાણી વાસમાં આ પાણીની બોટલો ફ્રીમાં આપેલી. મારા ઘેર પણ એક બોટલ ભેટ આવેલી. મને ત્યારે પણ હસવું આવતું  હતું અને આજે પણ આવે છે.
     એક મિત્રે આખી જીંદગી ગુરુજી સેવા કરેલી. લાખ રૂપિયાનો ધંધો બગડતો હોય તો બગડવા દે, પણ ગુરુજીનો ફોન આવે તો તરત અમદાવાદ દોટ મુકે. પાર્ટનરે ૧૨ લાખનો ચૂનો ચોપડ્યો તો ગુરુજીએ હાથ ઊંચા કરી દીધા કે કરમ તો ભોગવવા પડે, દેવું ઓછું થયું વહેલું વૈકુંઠ મળશે.
   બાબાઓ પ્લસીબો Placebo ઈફેક્ટનાં જાણકાર હોય છે. irritable bowel syndrome પીડાતા કેટલાક દર્દીઓ ઉપર એક રીસર્ચ કરવામાં આવેલું. આ લોકોને જણાવેલું કે એક્ટીવ ઇન્ગ્રેડીએન્ટસ વગરની આ ટેબ્લેટ રોજ સવાર સાંજ બે વાર લેવાની છે. ૫૯ ટકા લોકોને ત્રણ અઠવાડિયા પછી રાહત થઈ ગયેલી. પ્લસીબો ઈફેક્ટનું એક્જેટ મીકેનીઝમ શું છે તે ક્લિયર નથી. પણ એની અસર થાય છે ખરી. માઈન્ડ કંડીશનિંગ પણ ભાગ ભજવે છે. શરીર શીખતું હોય છે કે એક કેપ્સ્યુલ ખાધી કે તરત રાહત થવાની ચાલુ. અરે પેલાં દર્દીઓને વૈજ્ઞાનિકો કહેલું પણ ખરું કે ગોળીઓ નકલી છે અને પ્લસીબો ઈફેક્ટમાં વિશ્વાસ રાખશો નહિ, છતાં કેટલાંને રાહત થઈ ગયેલી. Ted Kaptchuk નામના રીસર્ચરે હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં આ પ્રયોગ કરેલો.
   તમે કાર ચલાવતા હોવ અને આઇફોનમાં ઈમેલ કે ટેક્ટ મેસેજનો રણકાર સાંભળો તરત તમે પેલાં પાવલોવના કૂતરાની જેમ લાળ ટપકવાનું ચાલુ. પાવલોવ રશિયન વૈજ્ઞાનિક હતો. ચોક્કસ સમયે કૂતરાને ખાવાનું આપે ત્યારે ઘંટડી વગાડતો. પછી ખાવાનું આપ્યા વગર પણ ઘંટડી વગાડે કૂતરાની લાળ ટપકવાની ચાલુ. ઈમેલ કે મેસેજનો રણકાર સાંભળી બ્રેઈન “dopamine squirt ” રિલીજ કરતું હોય છે, જે આપણને ઉત્તેજિત કરતું હોય છે. જયારે તમે દવા સમજીને સુગર પીલ ખાઓ ત્યારે સારું લાગતું હોય છે, દર્દમાં રાહત લાગે. રાહતની લાગણી કરતા કૈક વધુ બની રહ્યું છે, ખરેખર તમારું શરીર એન્ડોર્ફીન્સ રિલીજ કરતું હોય છે, ભલે નકલી ગોળી લીધી હોય. Every mental process is represented in the brain . બ્રેઈનમાં કશી હલચલ નાં થાય તો placebo પણ કઈ કામ ના કરે.
  ન્યુરોસાયન્સ શું છે? બ્રેઇનમા શું ચાલે છે તેનો અભ્યાસ છે. પણ મોટાભાગે આપણે જાણતા નથી કે dopamine અને સેરોટોનીન વચ્ચે શું તફાવત છે? કે હિપોકેમ્પસ અને amygdala શું છે? બસ કશું મગજમાં થયું, શું થયું? ભગવાન જાણે?  કાર ચલાવતા ચલાવતા પણ આઇફોનમાં મેઇલ ચેક કર્યા વગર રહી શકતા નથી, ભલે એક્સીડેન્ટ થઈ જાય. આમ પ્લસીબો ઇફેક્ટ ઘણું કામ કરી જાય છે. પ્લસીબો ટેબ્લેટ એક નાં બદલે બે વધુ કામ આપે છે, નાની કેપ્સ્યુલ કરતા મોટી  કેપ્સ્યુલ વધારે કામ આપે છે, પિલ્સ કરતા ઇન્જેક્શન વધુ રાહત આપે છે, જેમ દર્દ વધુ તેમ પ્લસીબો ઇફેક્ટ પણ વધુ, એક રોગ માટે સાચી દવા લીધી હોય તેજ દવા બીજા રોગમાટે નકલી પ્લસીબો તરીકે વાપરો તો વધુ ફાયદો આપે છે.  એન્ડોર્ફીન્સ પ્લસીબો ઇફેક્ટ માટે જવાબદાર હોય છે.
   બસ આ બાબાઓ જાણે  અજાણે પ્લસીબો ઈફેક્ટનો ઉપયોગ કરતા હોય છે. ડૉક્ટર ખાલી એની ફીસ વસૂલ કરતા હોય છે પણ આ બાબુડીયા તો તન, મન અને ધન સુધ્ધા હરી લેતા હોય છે. આમેય આપણે એડમીશન કે નોકરી માટે પ્રયત્નો કરતા જ હોઈએ છીએ. સફળ થઈએ તો બાબા કહેશે મારા લીધે થયું, નહિ થઈએ તો ફરી એની પાસે જવાના નથી, પણ ૨૦૦૦ રૂપિયા તો ગયાને? બાબુડિયાનાં ગતકડાં જુઓ. એક ભાઈ ૨૦૦૦ રૂપિયા ભરીને ગયા. બાબો પૂછે કે સવારે દૂધવાળો આવે તો દૂધ લેવા કોણ જાય છે? ભાઈ કહે કોઈ વાર હું જાઉં કે છાપું વાંચતો હોઉં તો ઘરમાંથી બીજું કોઈ જાય. બાબો કહેશે બસ દૂધ લેવા જાતે જતા નથી ત્યાંથી કૃપા આવે છે તે અટકી જાય છે. પેલાના ૨૦૦૦ રૂપિયા તો પડી ગયા. બીજાને કહેશે ફલાણા મંદિરે જાઓ છો?  મંદિર નજીકમાં હોય તેના વિષે કહેશે. જો તમે કહો ના તો કહેવાનો મંદિરે જતા નથી માટે કૃપા અટકી ગઈ છે. અને કહેશો હા જાઉં છું તો પૂછવાનો વચમાં શું આવે છે? તમે કહેશો વચમાં કોઈ નાનું દેરું આવે છે, બસ ત્યાં નળિયેર વધેરતા નથી માટે કૃપા અટકી ગઈ છે. તમને પૂછીને બહાનું શોધતા વાર કેટલી??સાવ બકવાસ બાલીશ ગતકડાં કાઢતો નિર્મળબાબા આજે મોટો સેલીબ્રીટી બની ચૂક્યો છે.
ખેરાલુ બાપુ પછી જેલમાં ગયેલા.
ધર્મ એક લાયસન્સ છે લોકોને ડફોળ બનાવી લૂંટવાનું. પેલો પ્રખ્યાત અશોક જાડેજા એકના ડબલ કરી આપતો હતો તેને જેલમાં પણ નાખેલો, અને આ બાબુડીઓ જેલમાં નહિ જાય કેમકે એની પાસે ધર્મનું લાઈસન્સ  છે. ટીવી ચેનલો બીજી જાહેરાતોની જેમ કેમ કહેતી નથી કે આ પેડ પ્રોગ્રામ છે?  pseudo spiritualism એક જુનો રોગ છે ભારતમાં. બધા આમાં સંડોવાયેલા છે, કિરીટભાઈજી, રમેશ ઓઝા, મોરારીબાપુ, સ્વર્ગસ્થ પાંડુરંગ દાદા અને હવે દીદી, આશારામ, રામદેવબાબા થી આજના નિર્મલબાબા સુધી. કેટલાના નામ લખીશું??

સ્વપ્નસરિતા-૨ (Hard Truths About Human Nature)

Sir Edward Tylor was responsible for forming t...
Image via Wikipedia

સ્વપ્ન સરિતા-૨ (Hard Truths About Human Nature)

 રોજ રાત્રે આપણે ઊંઘી જઈએ પછી સ્વપ્ન સરિતામાં ડૂબકાં ખાવા પહોચી જતા હોઈએ છીએ. હા! એનો  સમય દરેક વ્યક્તિએ અને સંજોગો પ્રમાણે ભિન્ન ભિન્ન હોય તે સ્વાભાવિક છે. રેમ પહેલાનો તબક્કો ઊંડી ઊંઘનો હોય છે. માનવ બ્રેઈન વિષે ખૂબ સંશોધન ચાલી રહ્યું છે. સાધુ સંતો, મહાત્માઓની જેમ હવામાં ગોળીબાર કરવાનું વિજ્ઞાનની તાસીરમાં હોય નહિ. છતાં REM બાયોલોજિક રહસ્ય છે તેવું વિજ્ઞાન કબૂલ કરે જ છે. MRI અને FMRI વડે બ્રેઈન વિશેના રહસ્ય ઉકેલવાનાં પ્રયત્નો ચાલુ જ છે. રેમના સાદા અર્થમાં ઊંઘની એવી અવસ્થા જેમાં vivid સપના જોઈ શકીએ છીએ. સ્વપ્નમાં લીમ્બીક સિસ્ટમમાં રહેલા amygdala ખાસ સક્રિય હોય છે. સપનામાં બ્રેઈનના  બીજા સક્રિય ભાગો anterior cingulate gyrus, the parahippocampal gyrus and ventromedial or orbitofrontal cortex હોય છે. The dorsolateral prefrontal cortex is de-activated in REM. Neurochemically, REM sleep demonstrates high activation levels in forebrain dopaminergic and cholinergic circuits as well as cessation of activation in the noradrenergic locus ceruleus and the serotoninergic raphe nucleus. Note that this pattern of activation and deactivation strikingly replicates the pattern associated with impulsive aggression in the waking state.
    સ્વપ્નમાં આમ aggression ખૂબ હોય છે. આમ ૬૦% પુરુષોના અને ૫૧% સ્ત્રીઓના સપનાઓમાં આક્રમકતા ક્યાંક ને ક્યાંક સંકળાયેલી નોંધાયેલી છે. સપના જોનારા વ્યક્તિઓમાં ૪૦% પુરુષો અને ૩૦% સ્ત્રીઓ પોતે જ આક્રમણ કરતા નોંધાયેલા છે. સપનામાં જોવાતી વ્યક્તિઓમાં પુરુષોમાં ત્રણ અને સ્ત્રીઓમાં ચાર સાથે કોઈ પણ પ્રકારની આક્રમકતા જોડાયેલી હોય છે. સપનાઓમાં જોવાતી ૮૦% વ્યક્તિઓ અજાણી હોય છે. આ અજાણી વ્યક્તિઓ મોટા ભાગે પુરુષો હોય છે અને તે સ્ત્રીઓ કરતા પુરુષોના સપનાઓમાં વધારે આવતી હોય છે. આમ અજાણી વ્યક્તિ સપનામાં આવે તો તે સપનામાં ફીજીકલ aggression ઉત્પન્ન થતું હોય છે. REM Behavior Disorder (RBD) વડે પીડાતી વ્યક્તિઓ માટે સપના હકીકત બની જતા હોય છે અને ઊંઘમાં ચીસો પાડવી, મુક્કા મારવા લાતો મારવી, પથારીમાંથી કૂદી પડવું, લડવું ઝઘડવું વગેરે વગેરે કરતા હોય છે. આમ રેમ આક્રમકતા સાથે જોડેલી ઊંઘની સ્થિતિ વધુ હોય છે. એવું પણ નથી કે કાયમ સપનામાં લડતા જ હોઈએ.
      Ref —International Review of Neurobiology, 92, 69-86.; McNamara, P. (2008). Nightmares: The science and solution of those frightening visions during sleep. Westport, CT: Praeger Perspectives.McNamara, P. (2004). An evolutionary psychology of sleep and dreams. Westport, CT: Praeger/Greenwood Press. Barrett, D., & McNamara, P. (Eds.). (forthcoming, 2012). Encyclopedia of sleep and dreams (3 volumes). Westford, CT: ABC-CLIO. McNamara, P., Nunn, C. L., & Barton, R. A.
      એક એકલવાયી ૩૦ વર્ષની પત્ની એક પુરુષ સાથે સપનામાં સંસર્ગ કરતી હોય છે, કે તે પુરુષ તેનો પતિ નથી. એક ૨૦ વર્ષનો  યુવાન સપનામાં અજાણ્યા વ્યક્તિઓ ઉપર મશીનગન ચલાવતો હોય છે, એક વ્યક્તિ વળી સ્વપ્નમાં દુશ્મન પર હથોડા વડે હુમલો કરે છે. જાગતા હોઈએ ત્યારે આવું કદાપિ આપણે હકીકતમાં કરી શકીએ નહિ. આમ સપનામાં કોઈને જીવલેણ માર્યું હોય પણ તે વ્યક્તિને કોઈ જેલમાં પૂરું દેતું નથી. યશવંતભાઈ લખતા હતા ને કે સપનામાં પણ સપનું. સપનામાં પણ ખબર હોય છે પેલી પત્નીને કે જે પુરુષ સાથે સંસર્ગ કરે છે તે એનો પતિ નથી, આવું પુરુષોનું પણ સમજવું. છતાં તે સપનામાં આવું વર્તન કરે છે, અને સુખ, ઇચ્છા, તૃપ્તિ સાથે શરમ પણ અનુભવે જ છે. આમ સપના આપણી નકારાત્મક લાગણીઓ ખાસ ઉજાગર કરતા હોય છે. ખાસ તો નફરત, ભય, ગુસ્સો, આક્રમકતા વગેરે વગેરે લાગણીઓનું નિષ્કાસન સપનામાં થઈ જતું હોય છે. સપના આમ એક માનસિક ઔષધની ગરજ સારતા હોય છે.
   શું પ્રાણીઓ પણ સપના જોતા હશે ખરા? પ્રાણીઓની ભાષા બોડી લૅન્ગ્વેજ હોય છે. એક બિલાડી ઉંદરને જુએ એટલે એની પૂંછ ટટ્ટાર થઈને જુદી રીતે  હાલવા લાગે. ટૂંકમાં શિકાર કે ખોરાક જોઇને એનું શરીર ખાસ પ્રકારની સ્થિતિમાં આવી જાય. વૈજ્ઞાનિકોએ પ્રયોગો કરેલા છે તે મુજબ આવી જ બોડી લૅન્ગ્વેજ બિલાડીમાં ઊંઘતી વખતે રેમ અવસ્થામાં જોવા મળેલી છે. એક અનુમાન છે કે બિલાડી પણ ઊંઘમાં આપણી જેમ ઉંદરના સપના જોતી હોવી જોઈએ.  મેમલ્સમાં રેમ સ્લિપ જોવા મળે છે. પાણીમાં રહેતા મેમલ્સમાં રેમ ક્લિયર નોંધાયું નથી. પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ રેમ અવસ્થામાં ઊંઘ લેતા જોવા મળે છે. સરીસર્પ રેમ અને નોનરેમ બંનેના કમ્બાઈન લક્ષણો નોંધાયેલા છે. આમ સરીસર્પની રેમ અવસ્થા વિષે વૈજ્ઞાનિકો બહુ જાણતા નથી.
    સપનાંમાંથી ઘણીવાર જાગી જઈને ફરી સપનામાં સરી જતા હોઈએ છીએ. અથવા તો લાગે કે આપણે સપનું જોઈ રહ્યા છીએ અને થોડીવાર પછી જાગૃત થતા હોઈએ છીએ. અથવા ઘણીવાર લાગે કે જાગી ગયા છીએ પણ ખરેખર જાગેલા હોતા નથી. અર્ધજાગૃત અવસ્થા જેવું  કહી શકાય. આવી અવસ્થામાં અજબ, શંકાશીલ અનુભવ થતું હોય છે. એક ચાઇનીઝ ફીલોસોફરને સપનું આવ્યું કે પોતે પતંગિયું બનીને ઊડી રહ્યો છે, પણ અર્ધજાગૃત અવસ્થામાં લાગ્યું કે પોતે માનવ છે. હવે એને અજબ અનુભવ થયો કે ખરેખર હું માનવ છું? હું માનવ સપનામાં પતંગિયું બનીને ઊડી રહ્યો છું કે પતંગિયું સપનું જોઈ રહ્યું છે કે માનવ બની ગયું છે? False awakenings, જાગીને જોયું તો જગત દીસે નહિ.
    ટ્રેડિશનલ સમાજોના મોટાભાગના રીલીજીયસ આઈડીયા સપનાઓની પેદાશ છે તેવું Jackson Steward Lincoln અને  Sir Edward Tylor (The dream in Native American and other primitive cultures)કહે છે. સપનામાં જોએલી વાતો ધાર્મિક રીતિ રિવાજ બની જતી હોય છે. યુરોપીયંસ પહેલીવાર અમેરિકા આવ્યા  ત્યારથી માર્ક કરતા કે નેટિવ અમેરિકન્સ એમના સપનાઓને ખૂબ મહત્વ સતત આપતા હતા. જાગૃત જીવન તો મુશ્કેલીઓ  અને હાડમારીઓથી ભરેલું હતું, જ્યારે સપના એમને શક્તિ અર્પતા હતા. અતીન્દ્રિય શક્તિઓ સપના જોનાર વ્યક્તિ સાથે વાતો કરતી હતી, એને તકલીફ પહોચાડી શકતી હતી, આદેશ આપતી હતી. આમ સ્પીરીટ અને  soul નો આઈડીયા આવ્યો. જે વ્યક્તિઓ મૃત્યુ પામી હોય છે તે પણ સપનામાં દેખાતી હોય છે. આમ મૃત્યુ પછીના જીવનનો આઈડીયા આવ્યો. અને આ મૃત વ્યક્તિઓ એમના જીવન વિષે વાતો કરતી હોય છે, સપનામાં ચેતવતી પણ હોય છે, આમ આત્મા અમર છે તેનો ખ્યાલ આવ્યો. આત્માની અમરતાની ધાર્મિક વાતો સપનાની પેદાશ છે, બાય પ્રોડક્ટ કહેવાય. મૃત પૂર્વજો એટલી બધીવાર સપનામાં આવતા કે પછી એમની ભક્તિ કરવાનું મન નાં થાય તો નવાઈ. પશુઓ પણ સપનામાં ખૂબ આવતા, આમ કેટલાક પશુઓની પણ પૂજા શરુ થઈ ગઈ. એક આત્મા બીજા શરીરમાં ઘૂસી જાય તેવો વિચાર પણ સપના દ્વારા ફેલાયો કહીએ તો ખોટું નથી. કારણ લોકો સપના જોતા હોય છે કે વ્યક્તિઓ અને સ્પીરીટ ક્યારેક એનિમલ બની જતા હોય છે અને એનિમલ વ્યક્તિઓ. જોકે રીલીજીયસ આઈડીયા પેદા થવાના બીજા અનેક કારણો હશે, ગ્રેટ ડીબેટનો વિષય છે, છતાં આ એક કારણ પણ હોવું જોઈએ.
  સપના મસાલેદાર ખીચડી જેવા હોય છે. દાખલા તરીકે થોડા મહિના કે દિવસો પહેલા તમે કોઈ ભાલા ફેંકની સ્પર્ધા ટીવી પર જોઈ હોય, પછી કોઈ ફિલ્મમાં ઘોડાની રેસ જોઈ હોય અને દિવસે ભદ્ર આગળ લાલ દરવાજે કશું ખરીદવા ગયા હોય અને રાત્રે સપનું આવે તો હાથમાં ભાલો લઈને ભદ્ર આગળથી તમે ગાંધીરોડ પર ઘોડા બેસીને જઈ રહ્યા છો અને આગળથી લાલબસ પસાર થઈ જાય છે તેવું પણ જોઈ શકો. તમારું બચપણ જ્યાં પસાર કર્યું હશે તેના સપના હજુ વૃદ્ધ થયા હશો તો પણ આવશે. મારે મારા પિતાશ્રી સાથે લાગણીઓનું જોડાણ ખૂબ હતું. આજે પણ તેઓ સાથે હું સપનામાં નાનો બાળક હોઉં તેમ ફરતો હોઉં છું. અમુક ચોક્કસ પરિસ્થિતિમાં અને દિવસોમાં એમનું સપનું આવે જ છે. મેં જાતે માર્ક કર્યું કે કોઈ તકલીફ હોય કે બીમારી હોય કે કોઈ મૂંઝવણ ભરી સ્થિતિ કે દિવસો હોય ત્યારે એમનું સપનું ખાસ આવે છે. બચપણ અને યુવાનીમાં કાયમ એમનું માર્ગદર્શન મેળવ્યું હોય, સહારો, સાથ અને હૂંફ મેળવી હોય તેની માંગ આજે પણ સપના દ્વારા વ્યક્ત થાય છે તેવું મારું તારણ છે. સપનાની ખીચડી થઈ જતી હોય છે અને માટે તે ઢંગધડા વગરના લાગતા હોય છે. પણ તમે યાદ રાખીને વિશ્લેષણ કરો તો ક્યાંક એનો તાળો મળી પણ જાય, અને નાં મળે તો બહુ દુખી થવા જેવું નથી. સ્વપ્ન સરિતાના ઊંડાણ અતલ હોય છે. બસ ડૂબકાં મારો, રીલેક્સ થઈ જાવ અને સવારે તાજામાજા થઈને કામ કરવા નીકળી પડો.

ગરીબની વહુ સૌની ભાભી.

ગરીબની વહુ સૌની ભાભી.
ગરીબની શ્રદ્ધા અંધશ્રદ્ધા, અને અમીરની અંધશ્રદ્ધા શ્રદ્ધા કહેવાય ખરુંને!!!  આ ગરીબ પછાત ગણાતી દેવી પૂજક કહેવાતી જાતોનાં લોકો માતા મેલડીને માનતા હોય છે. અને માતાજીને ખુશ કરવા ડાકલા વગાડતા હોય છે. ભૂત ભગાડવા પણ ડાકલા વગાડતા હશે. મૂળ તો દેવી પૂજક એટલે દેવી એટલે કે ભગવાનને સ્ત્રી રૂપે, માતા રૂપે, શક્તિ રૂપેણ પૂજતાં લોકો. શું ભગવાનને ફક્ત પુરુષ તરીકે જ પૂજી શકાય? માતા તરીકે નહિ? રામ તરીકે જ પૂજી શકાય? અંબા તરીકે નહિ? રામજીની ભક્તિ શ્રદ્ધા કહેવાય અને દેવી પૂજા અંધશ્રદ્ધા? રામ અને હનુમાનજીને પૂજનારા ધાર્મિક મહાન ભક્તો અને મેલડીને પૂજતાં ગરીબ લોકો અંધશ્રદ્ધાળુ?
   ફેસબુક મિત્ર શ્રી ધીરેન પંડ્યા મેલડી માતા અને ડાકલા વિષે સુંદર માહિતી આપે છે તે વાંચો એમના શબ્દોમાં.
   ડાકલા વિષે બહુ નમ્રતાપૂર્વક વાત કરું, તો ડાકલું એ સૃષ્ટિનું આદિ વાદ્ય છે. શિવજીએ પ્રગટ કર્યું અને વગાડ્યું. શિવ અને શક્તિ અભિન્ન છે, એટલે ડાકલું વગાડવાથી શક્તિ રાજી થાય છે. ડાકલાને અંધશ્રદ્ધા સાથે ન જોડી શકાય.
@ભારતીય સંસ્કૃતિના પાયામાં ચાર વેદ ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. એમાં સામવેદ એ સંગીતનો વેદ છે. સામવેદની ઋચાઓ જે સ્વરમાં ગવાતી એ જ સ્વરો હજારો વર્ષ પછી પણ માતાજીની વેરાડીમાં એ જ સ્વરૂપે જળવાયા છે. જે ડાકલા સાથે ગવાય છે. એને અંધશ્રદ્ધા સાથે ન જોડી શકાય. 
@મેલડીમાં વિષે કેટલાક મિત્રોને ખબર જ નથી કે મેલડીમાં એ કોઈ ભૂત-પ્રેત નથી કે એને કાઢવા માટે હનુમાન ચાલીસા બોલવા પડે. આદિશક્તિના ૩ સ્વરૂપ-મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી. અસુરોને મારવા ખાસ પ્રયોજનથી મહાકાળીએ જે સ્વરૂપ લીધું એ મેલડીના નામથી પૂજાય છે. મેલડીમાંને અંધશ્રદ્ધા સાથે જોડનારાને આ ખબર નથી હોતી. 
ભાઈ ધીરેન પંડ્યાને ઉપરોક્ત માહિતી જાણીતા લોકગાયક શ્રી અરવિંદ બારોટ પાસેથી મળેલી છે.
૨૦૦૬મા ભાદર ડેમ ખાતે દેવી પૂજક સમાજ માટે એક કથા યોજાએલી, દેવી પૂજક સમાજ અંધશ્રદ્ધાળુ અને ભૂત વગેરેના વહેમોથી ભરેલો, એમને સુધારવા આ કથાનું આયોજન થયેલું કે હવે ભૂત પ્રેત બધું ભૂલી જાઓ. ભૂતની બીક લાગે તો હનુમાન ચાલીસા કરો. હેતુ ઘણો સારો હતો. આપણે અહોભાવમાં તણાઈ જઈએ કે એક ધાર્મિક સંત આવું કામ કરે તો સારી વાત કહેવાય. ભૂતકાળમાં ઘણા સંતોએ આવા કામો કર્યા છે. શું અંધશ્રદ્ધાળુ બનવાનું ખાલી ગરીબ લોકોનું જ કામ છે? અમીરોનું નહિ? અમીરોની અંધશ્રદ્ધા દૂર કરવા આવી કોઈ કથા યોજાઈ છે ખરી? મેલડી તરીકે મહાકાલીને પૂજનારા દેવી પૂજકોને સુધારવા માટેની જરૂર શું? કે પછી ગરીબની વહુ સૌની ભાભી? અંધશ્રદ્ધાળુ દેવીપૂજકોને સુધારવા માટે જે પણ પ્રયત્નો થાય તેની સામે શું વાંધો હોઈ શકે? પણ શું ખાલી ગરીબ, પછાત, અભણ, અજ્ઞાની લોકો જ અંધશ્રદ્ધાળુ હોય છે? અમીર, ભણેલા, કહેવાતા જ્ઞાની, ડોક્ટર્સ, એન્જીનીયર્સ, ક્ષત્રિય, બ્રાહ્મણ,વણિક અંધશ્રદ્ધાળુ નથી હોતા? મોટા માણસની અંધશ્રદ્ધા ધર્મ કહેવાય, ભક્તિ કહેવાય, શ્રદ્ધા કહેવાય. નાના માનવીની શ્રદ્ધા મૂર્ખામી કહેવાય, અંધશ્રદ્ધા કહેવાય.
હજારો લાખો અંધશ્રદ્ધાઓ સમાજમાં ચાલતી  હોય છે, પણ વાંધો ફક્ત ગરીબની, પછાતની અંધશ્રદ્ધા સામે જ હોય છે.
     મોટા સુધરેલાં સમાજની અંધશ્રદ્ધાઓ જુઓ.  હનુમાનજીને તેલ ચડાવવું, એમાં કોઈ તર્ક દેખાય છે?  બરોડામાં એક સોસાયટીમાં માણીભદ્ર વીરનું મંદિર છે. વર્ષમાં એકવાર આ મૂર્તિને નવડાવીને જે પાણી ભેગું થાય તેને પ્રસાદ તરીકે પીવાય છે. હવે આ મૂર્તિને કલર પણ અમુક જગ્યાએ લગાવેલો હોય છે. આ ગંદું પાણી પ્રસાદ કહેવાય છે. અહીં નવરાત્રિમાં યજ્ઞ કરીને જે કપલને છોકરા થતા નાં હોય તેને એમાં આહુતિ આપવા બેસાડાય છે અને પેલું ગંદું પાણી પીવા અપાય છે. પ્રસાદરૂપે ધરાવેલું સફરજન ખાતા ખાતા અને ગંદું પાણી પીતી  ભણેલી ગણેલી જૈન સમાજ તથા અન્ય સમાજની સ્ત્રીઓ જાણે હાલ જ પ્રેગ્નન્ટ થઈ જવાની હોય તેમ અહોભાવમાં મગ્ન થઈ જતી, અને આવી ભણેલી મુર્ખીઓના ફોટા પાડતા પાડતા મને ખૂબ હસવું આવતું.  જૈન સમાજ તો ખૂબ સુધરેલો ગણાય છે ને? બરોડામાં મેં એકવાર જાતે જે પણ ડૉક્ટરનું સાઇન બોર્ડ દેખાય તેની અટક યાદ રાખીને ગણવાનું શરુ કરેલું. મેક્ઝીમમ ડોક્ટર્સ શાહ અટક ધરાવતા હતા. યજ્ઞ કરવાથી છોકરા થતા હોય તો પછી જોવાનું જ શું રહે? ત્યાંના મહારાજ સાહેબ કહે કાળું પેન્ટ પહેરીને કેમ આવ્યા છો? માણીભદ્ર દાદાને ત્યાં કાળું નાં ખપે. મેં જોયું ત્યાં મારા સિવાય કોઈ કાળા વસ્ત્રોમાં હતું નહિ. આખી ઘેટા ભીડ જાણે મેં કોઈ મહાન ગુનો કર્યો હોય તેમ મારી સામે જોઈ રહેલી. મેં વળતો જવાબ આપ્યો કે મારા માથાના વાળ પણ કાળા જ છે અને અહીં ઉપસ્થિત બધાના વાળ કાળા છે શું કરશો?
  મારા એક મિત્ર હરેશ દવે જ્યોતિષ હતા. કોઈ વૈષ્ણવ આચાર્યની દીકરીનું લગ્ન હતું. ભગવાન સ્વરૂપ આચાર્ય પોતે બ્રાહ્મણ જ્યોતિષીની સલાહ લેતા. આ દવે સાહેબ પેલાં લગ્નમાં હાજરી આપવા ગયેલા. મને કહે શું કહું? લગ્નમાં આવેલા બધા આચાર્યો, મહારાજશ્રીઓ,બાવાશ્રીઓ જમવા બેઠેલા, બહાર ભક્તોની ભીડ જામેલી. જેવા પેલાં જમીને ઉભા થયા કરોડપતિ વૈષ્ણવ વાણિયાઓ એંઠી પતરાળીઓ ઉપર તૂટી પડ્યા. આવું જ બધે જ ચાલતું હોય છે પણ આતો ધર્મ કહેવાય, ભક્તિ કહેવાય, શ્રદ્ધા કહેવાય. આચાર્યોને સ્ત્રીઓ ધરાવી દેવી તે સમર્પણ કહેવાય, ભક્તિ કહેવાય. સાઈરામ કાળી મર્સિડીઝમાંથી ઊતરીને ચાલતો હોય ત્યારે એના જે પગલા પડ્યા હોય તેમાંથી ધૂળ લઈને ફાકનારા મહાન ભક્તો શ્રદ્ધાળુ કહેવાય. અને ડાકલા વગાડતો માતાજીની આરાધના કરતો મૂરખ ગણાય. જો હનુમાન ચાલીસાથી વિશ્વાસ વધતો હોય બળ વધતું હોય તો પેલાંને એના ડાકલા વગાડવાથી પણ વિશ્વાસ વધતો જ હશે, બળ વધતું હશે.
     પારકી બૈરી લઈ જઈને ભજન ગઈ લેનારા પીર કહેવાય અને છનિયો આવું કરે તો જેલમાં પોલીસ મારી મારીને ધુમાડા કાઢી નાખે. ગર્ભવતી પત્નીને એક લોન્ડ્રીમેનના મહેણાંથી વનમાં મોકલી દેનારાને આપણે ભગવાન કહીએ છીએ અને કોઈ ચંદુ કે કાંતિડો આવું કરે તો સ્ત્રીઓ પર જુલમ કરનારો, અજ્ઞાની, મૂરખ, રાક્ષસ કહેવાય.  કોઈ બચરવાળ દેવી પૂજક મફલાની આણન્દીને ભોળવીને કોઈ નાત આગેવાન ઝૂંટવી જાય તો આપણે ચુપ રહીએ છીએ. અને કોઈ કચરા મગન ભીખલીને લઈને ભાગી જાય તો ચારિત્રહીન નાલાયક, પછાત કહેવાય. કોઈ ક્લીન્ટન મોનિકા સાથે લફરું કરે તો આપણે તે વિદેશી હોવાના નાતે ખૂબ ગાળો દઈએ છીએ. પણ આ ક્લીન્ટનને પાંજરામાં ઊભો કરી દેવાય છે, આપણે ત્યાં નગર પંચાયતના એક મામૂલી સભ્યને પણ કશું કરી શકતા નથી.
   ગરીબની અંધશ્રદ્ધા પણ ગરીબ હોય છે, પૂરી કરવામાં બહુ પૈસા થતા નથી. ભૂવા કચરાજી એક કૂકડું, એક દારૂની બોટલ અને થોડા પૈસામાં ભૂત કાઢી આપે. અને દારૂ કોણ નથી પીતું? કોઈ ભૂવાને કરોડપતિ જોયો??અમીરની અંધશ્રદ્ધા અમીર હોય છે. સોનાના મુગટ, દસ કરોડનું સિંહાસન તે પણ બાળ બ્રહ્મચારી હનુમાનજીને? ધબ્બા વિજ્ઞાનનાં પ્રણેતા સ્વામીનો ધબ્બો ખાલી ૫૦૦૦ ડોલર્સમાં પડતો હોય છે. થર્ડ ગ્રેઈડના સંતોની પધરામણી ૧૦૦૦ ડોલરમાં પડતી હોય છે. એક  મોટેલવાળાને આવી સ્ત્રીઓના મુખ નાં જોતા સંતોની પધરામણી અશ્વેત  સ્ત્રીનું અપમાન કરવા બદલ ૫૫૦૦૦ હજાર ડોલર્સમાં દંડ રૂપે પડી હતી  તે વાત વળી જુદી છે. આવા ધબ્બા ખાધેલાને પણ મજૂરી કરતા મેં જોયા છે. યજ્ઞમાં થોડા સુગંધિત દ્રવ્યો હોમવા માટે વળી મુરખોએ એમના કીમતી જીવ પણ આપ્યા છે. હરદ્વાર જઈ આવેલા એક ભાઈના જણાવ્યા મુજબ ભીડ ખૂબ હતી. દરેકને આહુતિ આપવાનો ચાન્સ મળે તે માટે બધાને અમુક સંખ્યામાં મંત્રો બોલી આહુતિ આપી ઉભા થઈ જવાનું હતું જેથી બીજાને લાભ મળે. એમાં હું રહી જઈશ તો? સ્વર્ગની ટીકીટ બુક કરાવવા જો આવેલા. એમાં કોઈ વૃદ્ધ મહિલા ઉતાવળ અને ભીડમાં ગબડી પડ્યા અને થઈ થોડી ધક્કામુક્કી. એમાં કોઈ બોલ્યું કે આંતક આવ્યું. બસ કાયર, ડરપોક, શિસ્ત વગરની પ્રજા પછી શેની ઊભી રહે?  ૨૨ જણા તત્કાલ રીજર્વેશન યોજના હેઠળ તરતજ સ્વર્ગમાં શ્રી રામ શર્મા આચાર્ય પાસે ગાયત્રીધામમાં સ્વર્ગમાં પહોચી ગયા. આવું ધોરાજીમાં પણ બનેલું જ ને? તે બધા વૈકુંઠમાં પહોચ્યા કે નહિ? કોઈ તપાસ કરો જરા.
    તાત્વિક રીતે એક ભૂવા અને આવા મહારાજોમાં કોઈ ફરક નથી, એક ગરીબ છે એક અમીર. એક અભણ છે બીજો ભણેલો. અંધશ્રદ્ધાની બાબતમાં બુદ્ધિશાળી બચ્ચન અને બલીયો રાવળ બંને એક સમાન જ છે. એક મંદિરમાં ઘંટ વગાડે છે બીજો માતાજીની દેરીએ ડાકલું વગાડે છે. અંધશ્રદ્ધાની બાબતમાં નીતા અંબાણી અને કન્કુડી બંને એક સમાન છે, એક શ્રીનાથજી જઈને મોંઘાં શણગાર ભેટ આપે છે બીજી એની ખખડધજ માતાજીની દેરીએ ચૂંદડી ચડાવે છે. એક ભજનિયા ગાતો પોકાર પાડતો હોય છે, બીજો ધૂણતો હોય છે. બંનેની બ્રેઈન સર્કિટ સરખીજ હોય છે. અમીર એની અંધશ્રદ્ધામાં મસ્ત હોય છે તો દરિદ્ર દેવીપૂજક એની અંધશ્રદ્ધામાં મગન હોય છે તો એણે  શું ગુનો કર્યો ??
  શું ફરી આવી કોઈ કથા થશે ખરી ઊંચી કોમના લોકો માટે? કે અલ્યા હવે ધબ્બા મરાવી બરડા તોડાવશો નહિ, હનુમાનને તેલ ચડાવી ગટરમાં જવા દેશો નહિ, મહારાજોનું એંઠું ખાશો નહિ, કે એંઠું પાણી પીશો નહિ, સાઈરામનાં પગની ધૂળ ચાટશો નહિ(સાઈરામ હમણા જેલમાં છે), ભૂત તમારા મનનો ભય છે તેના માટે ના મેલડી કે ના હનુમાન ચાલીસાની જરૂર છે. આવી કથા કરશે ખરા? નહિ કરે, એક મંચ ઉપર જો બેસવાનું છે. શંકરાચાર્ય મર્ડર કેસમાં પકડયા ત્યારે આ તમામ સમાજ સુધારક નાટકબાજો  એક મંચ ઉપર બેસીને રડતા હતા, ક્યારે કોનો વારો આવી જાય?
મારા મિત્ર પ્રદીપ પટેલ ચાણોદ ગયેલા સ્વાધ્યાય પરિવારની કોઈ શિબિર હતી. એક હવન જેવું કરીને બધા એમાં કાગળો હોમતા હતા. એમને માહિતી મળી કે તમારા જે પાપ કર્યા હોય તે લખીને આમાં હોમી દો એટલે બધા પાપ બળી જશે. એમને થયુ કે સારો ચાન્સ મળ્યો છે, જે કોઈ ભૂલમાં કર્યા હશે બધા આજે બળી જશે, મુક્ત થઈ જઈશું. કાગળમાં કરેલા, ના કરેલા પાપો લખીને કાગળ નાખવા ગયા તો રોકવામાં આવ્યા. સ્વાધ્યાય પરિવારમાં હોય તેના પાપો જ બળી શકે બીજાના નહિ. આખી જીંદગી ગીતા વિષે ભાષણો ઠોક્યા તેમના ભક્તોની આ અંધશ્રદ્ધા. પણ સોરી આ તો ધરમ કહેવાય ને? પંકજ ત્રિવેદીનું મર્ડર થયું કોઈ બેટો હોય જો બોલે તો?  આ બધા તો ઉચ્ચવર્ગના ભૂવાઓ છે. આ બધી અંધશ્રદ્ધાઓ તો સવર્ણોની, ઉચ્ચ ધનિક વર્ગની એના વિષે કોણ કથા કરશે? કોણ ઢોલ વગાડશે?
  બાપુએ ડાકલા તો વગાડ્યા પણ આ અમીરોની અમીર અંધશ્રદ્ધાઓ દૂર કરવા માટે ઢોલ કોણ પીટશે?? કોઈ શિક્ષકનું આ કામ નથી. શિક્ષકનું કોઈ માનશે પણ નહિ. મૂળ કૉન્સેપ્ટ એ હોય છે કે હવે તારી અંધશ્રદ્ધા દૂર કર અને મારી શરુ કર. મેલડી મુક હવે હનુમાન ચાલુ કર. નમઃ શિવાય બંધ કર અને શ્રીનાથજી બાવા બોલ. દીવા પ્રગટાવવાનું બંધ કર અને માખણ મીસરી ધરાવી પુષ્ટ થા. અંબા, દુર્ગા, રામ, કૃષ્ણ, શિવ બધા ભૂતપ્રેત છે ફેંકી દે બધા દેવલા,  પ્રગટ બ્રહ્મ સ્વામી જ ખરા. મારો બિજનેશ ઓછો થવો ના જોઈએ. ધર્મના ક્ષેત્રમાં બીજો આલ્ફા છે તે ના ચાલે મારે આલ્ફા બનવું છે. કોઈને સમાજ સુધારવો નથી. સમાજ ખાલી એક દેવીપૂજક જ્ઞાતિ નથી. સમાજ તો બહુ વિશાલ છે. અંધશ્રદ્ધા ખાલી દેવીપુજકની જ કેમ દૂર કરવાની? કે પછી ગરીબની વહુ સૌની ભાભી????અને અમીરની વહુ મોટી બહેન??