Category Archives: જ્ઞાન વિજ્ઞાન

સૌન્દર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે.Hard Truths About Human Nature.

સુંદરતા પામતા પહેલા સૌન્દર્ય બનવું પડે.Hard Truths About Human Nature.
સુંદરતા પામતા પહેલા સૌન્દર્ય બનવું પડે

માનસિક અને શારીરિક રીતે સ્ત્રી અને પુરુષમાં ઘણો ફરક દેખાતો હોય છે. પુરુષ એ રીતે ઈવૉલ્વ થયેલો હોય છે કે એને યુવાન, ક્લિઅર સ્કિન, સિમેટ્રીકલ ચહેરા સાથે શરીર ધરાવતી સ્ત્રી તરફ જવાનું એને પહેલું પસંદ આવતું હોય છે. સમય માપવાની રેતીવાળી શીશી જોઈ છે ? સુંદર ચહેરો અને hourglass ફિગર ધરાવતી નારી એટલે તંદુરસ્ત અને ફળદ્રુપ જે પુરુષને હંમેશા એના જીન પાસ કરવા મહત્તમ યોગ્ય લાગતી હોય છે. આ સરળ યુનિવર્સલ ગુણવત્તા સરહદો, સંસ્કૃતિઓ અને પેઢીઓ સુધી ફેલાયેલી પહેલી પસંદગી હોય છે.images (14)

સુંદરતાની વ્યાખ્યા દરેકની અલગ અલગ હોય છે તે પણ એટલું જ સત્ય છે. આજે પશ્ચિમની નારી પાતળી બનવા ખૂબ જહેમત કરતી જોવા મળે છે ત્યાં સત્ય એ છે કે પુરુષના એક દ્ગષ્ટિપાત માટે તમામ સંસ્કૃતિની નારી ખાય છે અથવા નથી ખાતી. ખોરાકની ઉપલબ્ધતા સાથે શરીરની સાઇઝની ગુણવત્તા નક્કી થતી હોય છે. એક ૭-ઇલેવન, મેકડોનાલ્ડ, બર્ગરકિંગ કે તાકોબેલ  વગર પાંચ માઈલ પસાર કરી શકતા નાં હોવ, જ્યાં ખાવાનું અઢળક વેચાતું હોય ત્યાં પાતળી પરમાર મોસ્ટ વેલકમ. સહારન, આફ્રિકન જેવા કલ્ચર કે જ્યાં ખોરાકની અછત હોય ત્યાં ચરબીથી લથપથ સ્ત્રીઓ બ્યૂટિફૂલ ગણાતી હોય છે.

મોટાભાગની સ્ત્રીઓની પહેલી પસંદગી તેમના કરતા વધુ ઊંચાઈ સાથે સિમેટ્રીકલ ફીચર ધરાવતા પુરુષો હોય છે. હેલ્થી અને પૅરસાઇટ વગરના સંભાવિત સાથીની આ નિશાની છે. છતાં સ્ત્રી હાઈ સ્ટૅટ્સ, સત્તા અને ધનવાન વ્યક્તિને પણ પ્રથમ પસંદગી આપતી હોવાથી કોઈ ઓછી ઊંચાઈ ધરાવતા ભાઈ પ્રાઇવેટ જેટ વિમાન ધરાવી એમની હાઇટ વધારતા પગ જોડી શકે છે. બૅંગકોંગ, મલૅશિયામાં ગરીબી ખૂબ છે. ઍવરિજ સામાન્ય આવક ધરાવતો અમેરિકન પુરુષ જે મકાન અને કાર ધરાવતો હોય તે એમને માટે તો સારો એવો પૈસાદાર ગણાય જે અમેરિકન સ્ત્રી માટે ગરીબ ગણાતો હોય. અમેરિકન ડોસલાં આરામથી મલૅશિયન સ્ત્રીઓની પહેલી પસંદ બની જતા હોય છે.

“Beauty is in the eye of the beholder.” આ ઉક્તિ પ્રાચીન ગ્રીસ વખતની આજે પણ ચલણમાં છે. તો શા માટે આપણ દરેકનો ટેસ્ટ જુદો જુદો અને વિવિધ હોય છે ? શારીરિક  આકર્ષણના વૈજ્ઞાનિક અભ્યાસ સારા એવા મદદરૂપ થતા હોય છે કે સુંદરતાની વ્યાખ્યા દરેકની અલગ અલગ અને યુનિક હોય છે.  હા તો મિત્રો સુંદરતા જોનારની આંખોમાં નહિ, પણ જોનારના orbito –frontal cortex માં હોય છે તેવું neuroscience laboratory University college Londonનું કહેવું છે. આપણાં દરેકનો સુંદરતા વિશેનો એક ઇન્ટરનલ કૉન્સેપ્ટ હોય છે. કોઈ સારું સંગીત સાંભળતા હોય ત્યારે બ્રેનમાં જે ભાગ સક્રિય થતા હોય તેજ ભાગ કોઈ સુંદર દ્ગશ્ય કે ચિત્રો જોતા સક્રિય થતા હોય છે.

images (17)આપણાં અગાઉના અનુભવો મુજબ બ્રેન રિઍક્ટ કરતું હોય છે. જો મને ક્લૅસિકલ સંગીત અદ્ભુત લાગતું હોય અને ધમાલિયું રૉક સંગીત ઓછું પસંદ આવતું હોય તો ક્લૅસિકલ સંગીત સાંભળતી વખતે બ્રેનમાં રહેલા રિવૉર્ડ અને પ્લેઝર વિભાગ વધુ સક્રિય થવાના, રોક મ્યૂઝિક વખતે ઓછા.  Beauty is in the eye of the beholder, or more accurately in their medial orbito-frontal cortex. This part of the brain activates when we experience beauty either as art or as music.

મોટાભાગે એવું મનાતું હોય છે કે સુંદર ચહેરો, સુંદર વાળ અને ઘાટીલું બદન એટલે બ્યૂટિફૂલ કે હૅન્ડસમ. પણ શારીરિક આકર્ષકતા આનાથી કંઈક વધારે હોય છે. બધા કહેવાતા રૂપાળાં લોકો આકર્ષક હોતા નથી. ક્રિયાશીલ જોમવાળી શારીરિક આકર્ષકતા થોડી જુદી હોય છે. આમાં વ્યક્તિની ભાવ વાહકતા, અભિવ્યક્તિ, પ્રમાણબદ્ધ સુંદર શરીરની મોહકતા સાથે બૉડી લૅંગ્વિજ ઉમેરીને જે ડાઇનેમિક ફિઝિકલ અટ્રૅક્ટિવનેસ ઊભી થાય છે તેની સામે કહેવાતી સુંદરતા પણ ઝાંખી પડી જતી હોય છે. ચાલવાની રીત, બોલવાની વાતો કરવાની છટા, ભાવ વ્યક્ત કરવાની અદ્ભુત ક્ષમતા, ખાસ તો હકારાત્મક લાગણીઓ વ્યક્ત કરવાની ક્ષમતા બધું ભેગું મળીને આકર્ષકતામાં વધારો કરી દેતું હોય છે.

બોલીવુડમાં આપણે જોઈએ છીએ કે ઓછા રૂપાળાં લાગતા અભિનેતાઓ મોટાભાગે ચૉકલેટી રૂપાળાં અભિનેતાઓ કરતા એમની આગવી છટાને લીધે વધુ સફળ થયેલા છે. એટલે સુંદરતા એટલે ફક્ત ગોરી ચામડી સમજી લેવું ખોટું છે. મતલબ સુંદર હોવું એટલે આકર્ષક હોવું તેવું સમજી લેવું વધારે પડતું છે. સ્ટૅટિક ફિઝિકલ અટ્રૅક્ટિવનેસ સાથે ડાઇનેમિક એક્સપ્રેસિવ સ્ટાઇલ ભળી જાય ત્યારે વ્યક્તિમાં એક charisma ઊભો થતો હોય છે. આવી charismatic  વ્યક્તિઓમાં ઇમોશનલ અને સોશિઅલ કમ્યુનિકેશન સ્કિલ ખૂબ ડેવલપ થયેલી હોય છે.

સુંદરતાના કોઈ માપતોલ હોતા નથી તેવું પણ કહેવામાં આવતું હોય છે. કારણ ઘણા પુરુષોને સોનેરી વાળ ધરાવતી સ્ત્રીઓ ગમતી હોય તો ઘણાને કાળા વાળ ધરાવતી. ઘણી સ્ત્રીઓને ગોરા પુરુષો ગમતા હોય તો ઘણી સ્ત્રીઓ ઘઉંવર્ણ ધરાવતા પુરુષને પસંદ કરતી હોય. આમ દરેકની પસંદ અલગ હોવાથી કહેવાય કે સુંદરતાનાં કોઈ માપતોલ હોતા નથી. છતાં સુંદરતા વિષે અમુક માન્યતાઓ બધે સામાન્ય સહજ સરખી હોય છે. સિમેટ્રીક ચહેરો દરેક કલ્ચરમાં સરખો સુંદર લાગતો હોય છે. આમાં પણ મૅથ(ગણિત) છે. ચહેરાના બંને બાજુના માપતોલ સરખાં હોય તે ચહેરો વધુ સુંદર લાગતો હોય છે.

ક્લિઅર સ્કિન યુનિવર્સલ પહેલી પસંદ હોય છે. પુરુષત્વ સૂચિત ચોરસ જડબા પુરુષો માટે અને હાઈ ચીક બૉન્સ સ્ત્રીઓ માટે વૈશ્વિક પસંદગી હોય છે. સેન્ટ્રલ આફ્રિકામાં ગોળમટોળ ભારેખમ સ્ત્રીઓ પહેલી પસંદ હોય છે. ઇથિઓપિયામાં સુર્માં અને મૂર્સી સ્ત્રીઓ એમના હોઠ પર બહુ મોટી પ્લેટ પહેરતી હોય છે. મ્યાનમારની kareni અને padaung  સ્ત્રીઓ  ડોકમાં રિંગ્સ પહેરતી હોય છે. ડોક આમ એટલી લાંબી થઈ ગઈ હોય કે પછી રીંગ વગર ચાલે નહિ.Neck_Elongation

Men, on average, tend to be attracted to women who are shorter than they are, have a youthful appearance, and exhibit features such as a symmetrical face, full breasts, full lips, and a low waist-hip ratio. Women, on average, tend to be attracted to men who are taller than they are, display a high-degree of facial symmetry, masculine facial dimorphism, and who have broad shoulders, a relatively narrow waist, and V-shaped torso.images (16)

 

 

 

 

 

અપત્યકામ, અમરત્વની શોધમાં.Hard Truths About Human Nature.

ગાંધી પરિધાન.

દુનિયાના કોઈ પણ ખૂણે કોઈને પણ પૂછો, બાળકો કોણ નહિ ઇચ્છતું હોય? દરેકને એક બાળક હોય તેવું તો ઇચ્છતા જ હોય છે. એકાદ બાળક વગર જીવન અસફળ છે તેવું લાગતું હોય છે. સંતાનો મોટા થતાં આપણે તેમને પરણાવી દેવાની ચિંતામાં પડી જતા હોઈએ છીએ. દાદા દાદી માથુ ખાઈ જતા હોય છે કે ભાઈ ક્યારે પરણીશ? પૌત્રનું મોઢું જોઈને મરવું છે. પૌત્રનાં લગ્ન હોય તો દાદા દાદીનો હરખ માતાપિતા કરતા બમણો હોય છે. બાળકો આપણી મરણશીલતા સામે ઢાલ હોય છે. અપ્ત્યકામ એટલે સંતાનપ્રાપ્તિની ઇચ્છા દરેક સજીવના જિન્સમાં કુદરતે મુકેલી હોય છે.

Arnaud Wisman (The University of Kent)અને Jamie Goldenberg (The University of South Florida) દ્વારા કરાયેલા સંશોધન મુજબ ભાગ લેનારા વ્યક્તિઓને નકારાત્મક વિચારો જેવાકે મૃત્યુ, અસફલતા, પીડા અને દુઃખ વિષે લખવાનું કહેવામાં આવ્યું, સાથે આવા વિચારો સમયે કેટલા બાળકો રીયલ લાઇફમાં હોય અને કેટલા ફેન્ટસીમાં હોય તે વિષે લખવાનું જણાવવામાં આવ્યું. પરિણામ એ આવ્યું કે જેમ મૃત્યુનો વિચાર વધુ તેમ વધુ બાળકો હોય તેવું ઇચ્છવામાં આવેલું. વ્યવસાયિ પુરુષોની ઇચ્છામાં કોઈ ફરક નહોતો, પણ વ્યવસાયિ સ્ત્રીઓ જેમને એમની કારકિર્દી અને પ્રગતિને વધુ ધ્યાનમાં લીધેલી તેઓએ બાળકો ખાસ ઇચ્છેલા નહિ. હ! એમની પ્રગતિ કે કારકિર્દીમાં અડચણરૂપ નાં હોય તો બાળકો હોય એમાં શું વાંધો હોય? આમ બાળક હોવું તે દરેક સ્ત્રી પુરુષની આદિમ ઇચ્છા હોય છે.

આવોજ પ્રયોગ ડચ અને જર્મન નાગરિકો સાથે પણ કરાયેલો.

બે મૂળભૂત સરહદો જન્મ અને મૃત્યુ વચ્ચે માનવીનું જીવન વ્યતીત થતું હોય છે. પોતાની જાતના મૃત્યુની અનિવાર્યતાનો સામનો  કરવો તે માનવી માટે ખૂબ તણાવયુક્ત હોય છે. સાથે સાથે માનવી પાસે એક અદ્ભુત ક્ષમતા પણ છે જે નવું જીવન પેદા કરી શકે છે. માનવી પોતાનો જીવન સમય લંબાવી શકતો નથી, પણ એક બાળક પેદા કરી, એક નવું જીવન પેદા કરી તેને ઉછેરીને પોતાના ભવિષ્યના અમરત્વની ઓળખ મૂકતો જતો હોય છે. આ ચક્ર ચાલતું રહે છે તેને જ અમરતા કહેવાય.

Terror management theory (TMT), થિયરીના જનક Cultural anthropologist Ernest Becker કહે છે કલ્ચર અને ગૃપ રિલેટેડ બિહેવિયરનાં મૂળિયાં self-preservation મોટિવમાં રહેલા છે. મૃત્યુ માનવ અસ્તિત્વ સામે એક મૂળભૂત પડકાર છે. ટૅરર મૅનેજમેન્ટ એક બેસિક સર્વાઈવલ નીડ છે. બાળકો પેદા કરવા તે પણ બેસિક સર્વાઈવલ નીડ બની જાય છે. ભવિષ્યની આગોતર યોજના. બાળકો આપણા ભવિષ્યના અસ્તિત્વના પુરાવા છે. આમ બાળકો થકી આપણે અમર છીએ. કુદરતના કાનૂન સ્ટ્રેઈટ ફૉર્વર્ડ છે, જન્મ થયા પછી પાછાં ફરવાનો કોઈ રસ્તો હોતો નથી. આગે મોત હી હૈ. અને ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે તે કોઈ જાણી શકતું નથી. એટલે જેવો માનવી સમજણો થાય કે તરત એના મૃત્યુ વિષે વિચાર કરતો થઈ જવાનો અને એની નશ્વરતા સામે કોઈ ઉપાય હોય તેની શોધ કરવામાં લાગી જવાનો. ફીયર ઑફ ડેથ(ટૅરર) માનવને નવું જીવન પેદા કરવા પ્રેરતું હોય છે. આપણા બાળકો પ્રતિકાત્મકરૂપે આપણી અમરતાની નિશાની છે. એક બાળકને જન્મ આપીને અમરતાને જન્મ આપીએ છીએ.

મૃત્યુ વિશેનું ચિંતન આપણાં દેશ જેટલું બીજા કોઈ દેશે કર્યું નહિ હોય. મોક્ષ અને અમૃત વિષે પણ આપણા દેશ જેટલું ચિંતન કોઈએ નહિ કર્યું હોય. આત્માની અમરતા વિશેના શ્લોકો પણ આપણે જ સહુથી વધુ ગાઈએ છીએ. મૃત્યુથી સૌથી વધુ ભય પણ આપણે પામીએ છીએ. અચાનક અને સમજી ના શકાય તેવી આવી પડનારી આફતો સામે કોઈ રક્ષણ કરનાર હોય તેમાંથી ભગવાનની અને ધર્મની કલ્પના આવી હોઈ શકે. સેંકડો વર્ષ લાગી વિદેશીઓના આક્રમણો, મૃત્યુ વિશેનું વધારે પડતું ચિંતન, સામે અમરતા અને મોક્ષનું ચિંતન, કમજોર સજીવ ખૂબ વસ્તી વધારે જેથી સર્વાઈવ થઈ જવાય આ બધું ભેગું થઈને ભારત એક પ્રચંડ વસ્તી વિસ્ફોટ કરી બેઠું છે. અમરતાનો અણુબૉમ્બ ખતરનાક બની ચૂક્યો છે.

લોભ જરૂરી, પણ અતિ નહિ. Hard Truths About Human Nature.

Statue representing Siddhartha Gautama.
Image via Wikipedia
લોભ જરૂરી, પણ અતિ નહિ. Hard Truths About Human Nature.
લોભ આજકાલ ગરમાગરમ ટૉપિક છે. ભારતના લોભીયાઓએ ૧૫૦૦ બિલિયન ડોલર્સ સ્વીસ બેન્કોમાં ખડકી દઈને ભારતને ભિખારી બનાવી દીધું છે. રાજાનું ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ, કલમાડીનાં  કૌભાંડની રમતગમત, આવા તો અનેક કૌભાંડો રોજ બહાર આવે જ જાય છે. ભૌતિકવાદને સતત વખોડનારો મહાન ધાર્મિક દેશ આજે લાલચ અને લોભના મહાસમુદ્રમાં ડૂબી રહ્યો છે.
લોભ સર્વવ્યાપક છે. આવા અતિલોભના કારણે અમેરિકા પણ ડૂબી રહ્યું છે. Bernie Madoff નું પચાસ બિલિયન ડોલર્સનું કૌભાંડ, વોલસ્ટ્રીટનું ભાંગી પડવું, AIG સ્કેન્ડલ, પોતાનું ઘર હોવું તેવા અમેરિકન ડ્રીમ નો ફુગ્ગો ફૂટી જવો, રોજ એક નવી બેંક ડૂબી જવાના સમાચાર, આખી દુનિયાના જમાદાર બની રહેવાની અમેરિકન પ્રમુખોની લાલચ આ બધું ભેગું થઈને અમેરિકા પણ મહામંદીનાં ચક્કરમાં ફસાઈ ગયું છે.  St. Thomas Aquinas કહે છે લોભ ભગવાન સામે કરેલો અપરાધ છે, પાપ છે.
 ગૌતમ બુદ્ધ જેને તૃષ્ણા કહેતા હોય છે તેની સાથે આ લોભ અને અકરાંતિયાપણું સંકળાયેલા લાગે છે. દ્રવ્ય લોભ, અતિતૃષ્ણા, લાલસા, ખાઉધરાપણું આ બધાનો કોઈ અંત હોતો નથી. કદી સંતોષાય નહિ તેવી આ બધી લાગણીઓ છે. અને માનવજાતના બધા દુઃખોનું મૂળ આ અતિતૃષ્ણા છે તેવું બુદ્ધ કહેતા. આ લોભ લાલસા સ્વાર્થીપણા સાથે જોડાયેલા હોય છે. એડીક્શન પણ એક જાતનું લોભનું, લાલસાનું સ્વાર્થી રૂપ જ છે. એડીક્ટ માણસ એના દુખ, બેચેની અને ચિંતા મુક્ત થવા જાત જાતના વ્યસન સ્વીકારી લેતો હોય છે, પછી ભલે તે ડ્રગ્ઝ હોય, સેક્સ હોય, જુગાર હોય, ખોરાક હોય, પોર્નોગ્રાફી, ઇન્ટરનેટ, ટેલિવિઝન, તમાકુ, સિગારેટ, પાવર અને પૈસો પણ હોઈ શકે છે. દરેકને પોતાના એડીક્શન  હોય છે,  workaholism, shopaholism , perfectionism વગેરે વગેરે. ધર્મ પણ એડીક્શન બની જતો હોય છે. આ બધામાંથી માનવ વધારે ને વધારે આનંદ ઇચ્છતો હોય છે. આ બધા વડે આપણે આપણી મનમાં ઊંડે ધરબાયેલી ઇચ્છાઓ  સંતૃપ્ત કરવાના વ્યર્થ પ્રયત્નો કરતા હોઈએ છીએ. આપણને બચપણ અને યુવાનીમાં મળેલા માનસિક આઘાતને ભરી દેવાના અથવા એના પ્રત્યે બહેરાં બની જવા પ્રયત્નો કરતા હોઈએ છીએ. ભાવનાત્મક ખાલીપણું જે અનુભવતા હોઈએ તેને સંતુષ્ટ કરવાના આ બધા વ્યર્થ પ્રયત્નો હોય છે. આ માનસિક જખમ અને self – defeating બિહેવિયરનાં મૂળિયા છેક બચપણમાં સમાયેલા હોય છે.
   Greed is a type of selfishness. આપણને બચપણથી શીખવવામાં આવે છે કે લોભ પાપનું મૂળ છે. શું લોભ કાયમ માટે ખરાબ, નકારાત્મક, અસામાજિક હોય છે? કોઈ વાર તંદુરસ્ત, જરૂરી, હકારાત્મક હોઈ ના શકે? જે લોકો આત્મકલ્યાણ, મોક્ષ, આત્મ સાક્ષાત્કાર, કૈવલ્ય કે નિર્વાણની શોધમાં સંસાર છોડી જતા રહેતા હોય છે તે લોકો પરમ સ્વાર્થી છે. એમાંથી થોડા લોકો, સાવ ગણ્યા ગાંઠ્યા લોકો પાછાં આવીને બાકીના સમૂહ કે સમાજ માટે નિઃસ્વાર્થ બની કામ કરતા હોય છે. અમુક લોભિયા વળી આવા અધ્યાત્મને ધંધો બનાવી લોકોને લોભિયા ના બનવાની સલાહ આપી આપીને પોતે ધનના ઢગલા પર બેસી જતા હોય છે. એક બિનસત્તાવાર સમાચાર મુજબ મધ્ય ગુજરાતમાં એક બહુ મોટી કથા થઈ હતી. પૈસા ના લેતા કથાકાર ટ્રસ્ટના નામે આશરે ૮૦ લાખ રૂપિયા લઈ ગયા. મંડપનો કૉન્ટ્રેક્ટ એમનો જ હોય છે તેના ૧૮ લાખ ચાર્જ થયો. એક મિત્ર પાસેથી વાત સાંભળી છે, હું કદાચ ખોટો પણ હોઈ શકું. જોકે આ અત્યંત સાદા અને નમ્ર કથાકાર કુંભના મેળામાં વર્ષો પહેલાં કથા કરવા ગયેલા ત્યારે ૧૫ લાખના સિંહાસન પર બેસતા અને ૧ લાખના તંબુમાં રહેતા તે હકીકત છે. જોકે આયોજકો આવી વ્યવસ્થા કરતા હોય તેમાં એમનો શું વાંક?
   તર્ક એવો છે કે લોભ સારો છે જ્યારે સાધનસામગ્રી, પૂંજી, સંપત્તિ અને સહારો ઓછો થઈ ગયો હોય. આ બધાની અછત હોય ત્યારે સર્વાઈવલ માટે લોભ સારો છે. મતલબ જ્યારે સંપત્તિ કે રીસોર્સીસ ઓછા થઈ જાય ત્યાર સ્વાર્થની વૃત્તિ વધતી જાય તેવું હોવું જોઈએ. પણ થાય છે ઊલટું. સરેરાશ જોઈએ તો જેની પાસે ખૂબ સંપદા હોય છે તે વધુ લોભિયો હોય છે અને જે લોકો પાસે ખાસ કશું હોતું નથી તે લોકો ઓછા લોભિયા હોય છે. નવા સંશોધન (Piff, Kraus, Cote, Cheng, and Keltner, 2010 ) મુજબ જાણવામાં આવ્યું કે જે લોકો  પાસે લીમીટેડ રીસોર્સીસ હોય છે તે લોકો જુદી સ્ટ્રેટેજી પસંદ કરતા હોય છે, આ લોકો તેમના લીમીટેડ રીસોર્સીસ બીજા લોકોને વહેંચતા માલૂમ પડ્યા છે. આમ ઓછી સંપદા સ્વાર્થ અને લોભને ઓછી કરે છે તેનું કારણ શું? ખરેખર તો ગરીબ માણસ લોભી અને સ્વાર્થી હોવો જોઈએ, એના બદલે અમીર લોકો વધુ લોભિયા અને સ્વાર્થી હોય છે.
    ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટ શું કહે છે જોઈશું? જ્યારે લોકો પાસે બહુ ઓછા રીસોર્સીસ હોય ત્યારે એમની સ્થિતિ સર્વાઈવલ માટે બહુ નાજુક, નિર્બળ હોય છે. આસપાસના વાતાવરણમાં ટકી જવા માટે અસહાય હોય છે. આમ જ્યારે રીસોર્સીસ ઓછા હોવાથી રક્ષણ કરવા માટે અસમર્થ હોય ત્યારે લોકો એમના સામાજિક જોડાણ મજબૂત બનાવવા તરફ વધુ ધ્યાન આપતા હોય છે. ભલે લોહીનો નાતો નાં હોય પણ વિશ્વાસ, કરુણા, સહભાવ, સદભાવ અને સહાનૂભુતિ દ્વારા વિશિષ્ટ સંબંધો બનાવીને એક સામૂહિક સર્વાઈવલની પદ્ધતિ અખત્યાર કરતા હોય છે. જ્યારે પૈસો અને સંપદા ખૂબ વધી જાય ત્યારે તેવા લોકોની નજર બીજા પ્રત્યેથી હટી જાય છે. હવે બીજાની જરૂર ખાસ રહી નથી. આમ એમની બીજા પ્રત્યેથી લાગણી પણ ઓછી થઈ જતી હોય છે. હવે એની પાસે ખૂબ સંપત્તિ છે હવે બીજાનું શું કામ? આમ આ લોકો સંપત્તિ ઉપર વધુ આધાર રાખતા હોય છે સિવાય લોકો પર. આમ વધુ ને વધુ લોભી, સ્વાર્થી અને સંગ્રહખોર બનતા જતા હોય છે. જનરલી આવું જ બનતું હોય છે, આમાં પણ અપવાદ હોય છે ઘણા લોકો ખૂબ પૈસા કમાઈને ખૂબ ચેરિટી પણ કરતા હોય છે.
    લોભ ખાલી પૈસા, ધન કે સંપત્તિ પર આધાર નથી રાખતો. આપણે વધુ ધન ઇચ્છીએ છીએ કે ધન વડે સલામતી અને સ્વતંત્રતા પણ મેળવી શકીએ છીએ. આપણી જરૂરિયાતો માટે કોઈના ઉપર આધાર તો નાં રાખવો પડે? સામાન્ય જરૂરિયાતો સાથે વૈભવી મોજમજા પણ માણી શકાય છે. લોભ એટલે વધારે પડતી ધન કે કોઈ પણ વસ્તુ  માટેની ઇચ્છા કે પ્રેમ કે લાલસા ગણો. લોભી એની વસ્તુ કે પૈસા સાથે વધુ પડતો એટેચ થઈ ગયો હોય છે. એક ધનકુબેર વિષે હું વાંચતો હતો નામ યાદ રહ્યું નથી, એણે એની પત્નીને ડિવોર્સ આપી દીધેલા કે તેના કોસ્મેટીક્સનાં ખર્ચા એને પોસાતા નહોતા, એણે ચાલીસ વર્ષથી એનો કોટ બદલ્યો નહોતો. ઘણા બધા દેશોમાં એની હજારો એકર જમીનો હતી. વોરેન બફેટ બહુ સાદું જીવન વિતાવે છે તેવું વાંચીને આપણે અહોભાવમાં ગદગદિત થઈ જઈએ છીએ એવું તો નથી ને કે ભાઈ લોભિયા છે? સવાલ પૂછ્યો છે ખાલી. વળી કોઈ બફેટના આશકને ખોટું ના લાગી જાય. ચાલો મિત્રો લોભ વિષે થોડા મહાનુભાવો શું કહે છે તે વાંચો પણ પહેલું વાક્ય બફેટના વક્તવ્યથી જ શરુ કરો.
** I will tell you the secret to getting rich on Wall Street. You try to be greedy when others are fearful. And you try to be fearful when others are greedy. – Warren Buffett
**Greed is an imperfection that defiles the mind; hate is an imperfection that defiles the mind; delusion is an imperfection that defiles the mind. – Siddhartha Gautama
**In his love for the world, the greedy is like the silkworm: the more it wraps in its cocoon, the less it has of escaping from it, until it dies of grief. – Imam Muhammad al-Baqir
**Even the most beautiful scenery is no longer assured of our love after we have lived in it for three months, and some distant coast attracts our avarice: possessions are generally diminished by possession. – Friedrich Nietzsche
** Fraud is the daughter of greed.
** We’re all born brave, trusting and greedy, and most of us remain greedy. – Mignon McLaughlin
** Nothing makes us more vulnerable than loneliness, except greed, which does make us more vulnerable than loneliness. – Thomas Harris
** Stealing to eat ain’t criminal-stealing to be rich is. – Andrew Vachss, A Bomb Built in Hell
** There is no fire like passion, there is no shark like hatred, there is no snare like folly, there is no torrent like greed. – Siddhartha Gautama
**Earth provides enough to satisfy every man’s needs, but not every man’s greed. – Mahatma Gandhi
**The greed of gain has no time or limit to its capaciousness. Its one object is to produce and consume. It has pity neither for beautiful nature nor for living human beings. It is ruthlessly ready without a moment’s hesitation to crush beauty and life. – Rabindranath Tagore
**Greed is a bottomless pit which exhausts the person in an endless effort to satisfy the need without ever reaching satisfaction. – Erich Fromm, Escape From Freedom
**There are three gates to self-destructive hell: lust, anger, and greed. -Bhagavad Gita 16:21

ચાલ મનવા એકાંતમાં જરા જાત સાથે વાતું કરી લઈએ. Hard Truths About Human Nature.

Solitude
Solitude (Photo credit: Lady-bug)
ચાલ મનવા એકાંતમાં જરા જાત સાથે વાતું કરી લઈએ. Hard Truths About Human Nature.
    આધુનિક જીવન ખૂબ ઝડપી બની ગયું છે. મુંબઈ અને ન્યુયોર્ક જેવા શહેરોમાં લોકોનું જીવન અતિશય ફાસ્ટ હોય છે. સવારે છોકરા સુતા હોય અને બાપ નોકરી પર જવા નીકળી જતા હોય તે  છેક રાત્રે છોકરા ઊંઘી ગયા હોય ત્યારે પાછાં આવે. વળી રજાને દિવસે બીજા અનેક પેન્ડીંગ કામ બાકી હોય. એક સંબંધી ન્યુયોર્ક જોબ કરવા જતા હતા. એમની દિનચર્યા હું જોતો હતો. રહેતા અહીં એડીસનમાં અને જોબ છેક ન્યુયોર્કમાં. આવા અનેક લોકો હશે, કેમકે ન્યુયોર્કમાં રહેવું ખૂબ મોંઘું પડતું હોય. સવારે પાંચ વાગે જાગી જતા. શ્રીમતી અને બાળકો ઊંઘતા હોય, જાતે ચા ગેસ પર મૂકી ફટાફટ તૈયાર થવા લાગી જતા. એડીસન ટ્રેઇન સ્ટેશને કાર મૂકીને ટ્રેઇન પકડવાની. રાત્રે મોડા આવતા અને ઘણી વાર બહુ મોડું થયું હોય તો કંપનીના ખર્ચે લીમોઝીન મૂકવા આવતી. શનિરવી રજા હોય ત્યારે પણ નવરાં જોયા નહિ. મુંબઈની લાઇફ પણ ખૂબ ફાસ્ટ ગણાય છે.
   અહીં અમેરિકામાં ભારતીય બહેનો પણ ખૂબ વ્યસ્ત લાઇફ જીવતી હોય છે. જોબ કરતી હોય, બાળકોને લેવા મૂકવા જવાનું, ઘરકામ, રસોઈ, શોપિંગ, શનિરવી ઘરની સાફ સફાઈ, એક્સ્ટ્રા ઇન્કમ માટે એક્સ્ટ્રા કામ પણ કરવાના. જેવા કે પેઈંગ ગેસ્ટ ઘરમાં રાખવાના, તેમની ખાવાપીવાની વ્યવસ્થા જાળવવાની, બેબી સીટીંગ, કોઈ વળી ઘરમાં કેશ કર્તન કળાનો પણ ઉપયોગ કરી સસ્તા ભાવે સેવા આપતા હોય, મંદિરે જવાનું, સાસબહુની સીરીયલો જોવાની, ઘેર ઘેર ફરીને પાછાં ધાર્મિક પરિવારોના પ્રચાર પણ કરવાના  આવું તો અનેક.
   એક ઈમેલ સેકન્ડના દસમાં ભાગે આખી દુનિયામાં ફરી વળી હોય તેવા જમાનામાં નવરાં લોકો પણ નવરાં હોતા નથી.
     આવા અતિશય વ્યસ્ત જીવનમાં આપણે ઓવરલોડેડ ફીલ કરતા હોઈએ છીએ, એક  માનસિક પ્રેસર ઊભું થતું હોય છે. ત્યારે કહેવાનું મન થાય કે ” ચાલ મનવા એકાંતમાં જરા જાત સાથે વાતું કરી લઈએ”. એકાંતનો આનંદ માણવાનું જરૂરી બની જતું હોય છે.
     એકાંત અને એકલતા લગભગ સરખાં લાગતા હોય છે. બહારથી બંને એક સરખાં લાગતા હોય છે. Loneliness એ નકારાત્મક લાગણી છે જે દુનિયાથી વખુટા પડી ગયાની અનુભૂતિ કરાવે છે. લાગે છે કંઈક ખૂટી રહ્યું છે. એકલતાનું  એક કડવું સત્ય એ પણ છે કે લોકોની ભીડ વચ્ચે પણ એકલતા લાગતી હોય છે. એકલતાનું  આ વરવું સ્વરૂપ કહેવાય.
    Solitude, એકલતા અનુભવ્યા વગર એકાંતમાં સ્થિત થવું એક હકારાત્મક સર્જનાત્મક સ્વ સાથે જોડતી અવસ્થા કહેવાય. આવા એકાંતમાં આપણે અંતરમાં ખાંખાંખોળા કરી શકીએ છીએ, આનંદ માણી શકીએ  છીએ, વિકાસ કરી શકીએ છીએ, કશું સર્જનાત્મક વિચારી શકીએ છીએ. પોતાની જાત સાથે નજીક આવી શકીએ છીએ. શાંતિના અનુભવ દ્વારા અંતરની અમીરી પામવા એકાંતમાં રહેવું જરૂરી બની જતું હોય છે. આમ એકાંત આપણને તરોતાજા કરી નાખે, ઉત્સાહ અને એનર્જી વડે ભરી દેતું હોય છે.
   Loneliness એટલે જાણે સજા, લાગણી વગરનું, નિષ્ઠુરતા, વખુટા પડી જવું, સદભાવ કે મિત્રભાવ ગુમાવવો. એકાંત આપણે પસંદ કરીએ છીએ અને એકલતા બીજા લોકોએ આપણી ઉપર લાદી દીધી હોય તેમ લાગે છે. એકાંતમાં રહેવું પોતાની જાતે પસંદ કરેલી એકલતા છે.
  દરેકને એકાંતની પળોની જરૂર હોય છે. ફાસ્ટ લાઇફમાં પાછાં ફરવા રીચાર્જ થવા એકાંતમાં થોડો સમય ગાળવો મહત્વનો છે. Solitude restores body and mind. Loneliness depletes them.
    માનવજાત સામાજિક પ્રાણી સાથે એકાકી પણ છે. આધુક જીવન શૈલીમાં પણ ઘણા બધા કામ એકલાં કરવા પડતા હોય છે. રાતે સૂઈ જઈએ ત્યારે આપણે એકલાં હોઈએ છીએ. આ પૃથ્વી પર માણસ એકલો આવે છે અને મૃત્યુ પામે ત્યારે પણ એકલો મૃત્યુ પામતો હોય છે. પણ આ મૃત્યુનો ભય આપણને કદી એકલાં પાડવા દેતો નથી. માણસને એકલતાનો ખૂબ ભય લાગતો હોય છે. માટે સમૂહના સર્વાઈવલ વિરુદ્ધનું કોઈ કામ કરીએ ત્યારે સમૂહ એકાંતવાસ એટલે જેલની સજા કરતો હોય છે.
     સંબંધોની  સુગંધ પામતું કોણ રોકી રહ્યું છે? કોણ રોકી રહ્યું છે આપણી સર્જનાત્મકતાને? કોણ અટકાવી રહ્યું છે મનની શાંતિ? આ તણાવ યુક્ત જીવન શૈલીમાં આશ્ચર્યજનક ઉત્તર છે, એકાંતનો અકાળ. આજે આપણે એકાંતની ક્ષણનાં દુષ્કાળથી પીડાઈએ છીએ. એકાંત એક જાતનું ટૉનિક છે, જે બીજા લોકો સાથે સમૃદ્ધપણે જોડી શકે છે. સાંપ્રત સમયમાં આપણે ઊંચા  મન સાથે જીવી રહ્યા હોઈએ તેવું નથી લાગતું? ૧૯૫૦માં  હતી તેના કરતા આજે દુનિયાની વસ્તી ડબલ થઈ ગઈ છે. શહેરી વિસ્તાર વધી ગયા છે. શહેરી વિસ્તરમાં પણ ભીડ ખૂબ વધી ગઈ છે. હું ૧૯૭૨મા વડોદરા ભણવા ગયેલો ત્યારે રાત્રે આઠ વાગ્યા પછી શહેર સુમસામ થઈ જતું, આજે આખી રાત ચહલપહલ જોવા મળે છે. નવી ગ્લોબલ ઈકોનોમીનાં કારણે લોકો આખી દુનિયા સાથે જોડાઈ ગયા છે. સેલફોન આજે અનિવાર્ય શારીરિક અંગ જેવા બની ગયા છે. હાથપગ કે કાન વગરનું શરીર તમે કલ્પી શકો?  તેમ સેલફોન વગરનો માણસ કે સેલફોન વગરનું શરીર પણ કલ્પી ના શકો. ઉત્ક્રાન્તિના પરિબળો ભવિષ્યમાં કાન પાસે સેલફોન ડીવાઈસ ઉગાડી નાં દે તો નવાઈ નહિ. સેલફોન નહિ તો સેલફોન મૂકવાની કોથળી પેલાં કાંગારું જેવું જરૂર ઉગાડી દેશે. કાંગારુના પેટે એના અવિકસિત બચ્ચા માટે કોથળી હોય છે.
  કોઈ ધર્મ હવે શાંતિ મળે તેવા સ્થળ પ્રોવાઈડ કરી શકે તેમ નથી. ઉલટાના મંદિરોતો કોલાહલ વધારવાના કારખાના બની ગયા છે. મેગાચર્ચ અને મેગામંદિર સામાજિક મેળાવડાનું સ્થાન અને અમ્યુઝમેન્ટ પાર્ક જેવા બની ગયા છે. સેલફોન,સ્માર્ટફોન, ઈન્ટરનેટ , કોમ્પ્યુટર વગેરે સંપર્ક વધારવાના સાધનો છે, પણ એનાથી સાચો સ્પર્શ આપણે ગુમાવી બેઠાં છીએ. આધારભૂત, અસલ સર્જનાત્મક એકાંતવાસ આપણે ગુમાવી ચૂક્યા છીએ. અમુક સમય પૂરતા એકલાં પડવું કે રહેવું  ખરેખર આપણાં જીવનને એડજસ્ટ કરે છે. આપણને આરામ આપી આપણી શક્તિઓને ફરીથી રીચાર્જ કરે છે. મહાવીર, બુદ્ધ, જીસસ, મહંમદ, લાઓ ત્ઝું જેવા અનેક મહાપુરુષો અમુક સમય માટે સમાજથી દૂર એકાંતવાસમાં જતા રહેલા. એટલાં બધા રીચાર્જ થઈને એક નવી ચેતના સાથે પાછાં ફરેલા કે જેતે સમયના આખા સમાજની જીવનશૈલી બદલી નાખેલી. મહાવીર ૧૨ વર્ષ અને  બુદ્ધ ૬ વર્ષ સમાજથી દૂર એકાંતમાં રહેલા.
  મધર નેચરે રાત્રે ઊંઘવાનું આપીને આપણને સાચું એકાંત પૂરું પાડ્યું છે. સાથે સાથે એનું મહત્વ પણ સમજાવ્યું છે. ઊંઘની ટીકડીઓનું વધેલું વેચાણ દર્શાવે છે કે આ રાત્રી એકાંતવાસ ખતરામાં છે. સાચો એકાંતવાસ ગુમાવીને માનવ આજે એકલો પડી ગયો છે. એકલવાયા અનુભવ કરવો ડીપ્રેશનનું કારણ બની શકે તેમ છે. માનવ સામાજિક પ્રાણી છે, સમૂહમાં રહેવા ટેવાયેલો છે. ૨૦મિ સદીની ત્રણ પ્રસિદ્ધ મહિલાઓ Judy Garland , Marilyn Monroe , અને Princess Diana ત્રણે જાણીતી એકલતા અનુભવતી મહિલાઓ હતી. હજારોની  ભીડ વચ્ચે ઘેરાએલી  રહેતી  આ સ્ત્રીઓ એકલી હતી. Loneliness isn’t  about being alone , it’s about  not feeling connected. સામાજિક જોડાણ અને દબાણપૂર્વક આવું જોડાણ રદ કરવાના પુરાવા ચીમ્પાન્ઝીમાં સમૂહમાં પણ નોંધાયેલા છે. સામાજિક નિયમોનો  ભંગ કરવા બદલ સામાજિક બહિષ્કાર કરવો, નાત બહાર મૂકવા દરેક માનવ સમાજમાં સામાન્ય હતું. ગુજરાતમાં હોકાપાણી બંધ એવું પણ કહેવાતું. જે કેદીઓ ગંભીર ગુનામાં સપડાયેલા હોય તેમને બીજા કેદીઓ સાથે પણ રાખતા નથી, સાવ એકલાં રહેવાનું હોય છે.
    સમૂહના બીજા લોકો સાથે જોડાયેલા રહેવું અગત્યનું હોય છે. લૅબોરેટરીમાં થયેલા સંશોધન જણાવે છે કોઈનો સહકાર બ્રેઈનના રીવોર્ડ એરિયાને સક્રિય કરતો હોય છે. જેવી રીતે ભૂખ લાગી હોય અને ખોરાક મળે ત્યારે બ્રેઈનના જે એરિયા એક્ટીવ થતા હોય છે તેવી જ રીતે અને તેટલા પ્રમાણમાં પેલાં રીવોર્ડ એરિયા સહકાર પામતા સક્રિય થતા હોય છે. આમ ખોરાક મળે તે અગત્યનું છે સાથે  સહકાર પ્રાપ્ત થાય કે સામાજિક સંબંધ વધે તે પણ તેટલું જ અગત્યનું છે. જ્યારે શારીરિક દર્દ થાય ત્યારે બ્રેઈનના જે ભાગ સક્રિય થાય છે તેજ ભાગ સામાજિક બહિષ્કાર થાય ત્યારે અને સહકાર નાં મળે ત્યારે સક્રિય થતા હોય છે. આમ  અસહકાર મળે તેનું દુખ અને શારીરિક પીડા બંનેનું દર્દ બ્રેઈન માટે સરખું જ છે. FMRI વડે થયેલા બ્રેઈન સ્કેનીંગ આ બધું સારી રીતે દર્શાવે છે. અરે પરિચિત વ્યક્તિનો ફોટો જોઇને પણ હ્યુમન બ્રેઈન જુદી રીતે પ્રતિભાવ આપતું હોય છે. ” કોઈ મને પસંદ કરે છે” બહુ સ્પષ્ટ પણે ન્યુરલ વાયરિંગ માટે અગત્યની કૅટેગરી છે. લગ્ન વ્યવસ્થા આમ સામાજિક જોડાણ વધારવાનો ઉપાય માત્ર છે. ભલે દોષપૂર્ણ હોય પણ એકાદ વાર લગ્ન કરેલા હોય અને એકલાં રહેતા હોય તેવા લોકો કરતા કદી લગ્ન કર્યા નાં હોય તેમનો મરણ આંક ૬૫ ટકા વધુ હોય છે. અને જેઓ લગ્ન કરીને સાથે રહેતા હોય તેવા લોકો કરતા કદી લગ્ન કર્યા જ ના હોય તેમનો મરણાંક ૨૨૦ ટકા વધુ હોય છે. યુ.એસ.એ.માં ૩૧મિલિયન લોકો એકલાં રહે છે, ૧૦૦ મિલિયન કરતા વધુ લોકો ડિવોર્સ લઈને કે વિધવા કે વિધુર તરીકે એકલાં રહે છે. એક મીલીયન એટલે દસ લાખ ગણવા.
     આમ સામાજિક જોડાણ અગત્યનું છે તેમ એકાંત પણ અગત્યનું છે. એના વગર આપણે રીચાર્જ થઈ શકીએ નહિ. માટે ઘણા લોકો અમુક સમય માટે મૌન પાળતા હોય છે. મૌન પણ  ભીડ વચાળે એકાંત મેળવવાનો ઉપાય છે. જેને દિવસમાં ખૂબ બોલવાની જરૂર પડતી હોય તેવા લોકોએ અમુક સમય મૌન પાળવું જરૂરી બની રહે જેથી  ફરી બોલવા માટે બેટરી રીચાર્જ થઈ જાય. મોદી સરકાર રોજ બે કલાક મૌન પાળે છે તેવું સંભળાયું હતું. મોરારીબાપુ અઠવાડીએ એક દિવસ મૌન પાળે છે. મેહરબાબા મૌનની મજામાં એટલાં બધા ગર્ત થઈ ગયેલા કે ફરી કદી બોલ્યા જ નહિ. આજે બોલીશ કાલે બોલીશ એવા વચનો  આપીને પણ કદી બોલી શક્યા નહિ. એકલવાયા અનુભવ કરવો જોખમી છે, હતાશા પેદા કરે છે  તો સામે સ્વૈચ્છિક એકાંતવાસ સારો છે તમને રીચાર્જ કરે છે, વધારે જીવંત બનાવે છે, સ્વની વધારે નજીક લઈ જાય છે, તણાવ મુક્ત કરે છે, આ ફાસ્ટ જિંદગીમાં ફરીથી કૂદી પડવાનું બળ આપે છે. તો ચાલો ગણગણીએ
 “ચાલ મનવા એકાંતમાં જરા જાત સાથે વાતું કરી લઈએ.”

કોલાહલ

કોલાહલ

     સિત્તેરના દાયકામાં હું વડોદરા ભણતો ત્યારે મહારાષ્ટ્ર દાંડિયા બજારમાં આવેલી મહારાષ્ટ્ર  લોજમાં જમવા જતો. થાળી વાટકાનાં ખખડવાના અવાજો આવતા. પીરસણીયા પીરસતા હોવા છતાં મૅનેજર બુમો પાડતો હોય. ટેબલ ખુરશી ભરાઈ ગયા હોય તો અંદરની રૂમમાં પાટલાં માંડેલા હતા, ત્યાં બેસીને પણ ઘણીવાર ખાધું છે. વાસણોના ખડખડાટ વડે અને મેનેજરની બુમાબુમ સાથે વાતાવરણ એક જીવંત લાગતું. આજે પણ રેસ્ટોરેન્ટમાં કે લોજમાં જમવા જાવ તો પાછળ સરસ મ્યુઝિક વાગતું હોય છે. જોકે પેલી સિત્તેરના દાયકા જેવી મહારાષ્ટ્ર કે માધવ લોજ જેવું જીવંત વાતાવરણ ઓછું લાગે. જ્યોર્જીયા સ્ટેટ યુનિવર્સિટીનો એક અભ્યાસ જણાવે છે કે સંગીતનાં સથવારે કૉલેજ સ્ટુડન્ટ વધુ ખાતાંપીતાં હોય છે. જર્નલ ઑફ બિઝનેસ રીસર્ચમાં પ્રકાશિત થયેલા મ્યુઝિક ઇન રીટેઈલ સ્ટોર વિષય પરનાં ૧૫૭ પેપર્સ મુજબ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ગ્રાહકોને આનંદ આપતું હોય છે અને સ્ટોરમાં વધુ સમય ગાળવા મજબૂર કરતું હોય છે સાથે સાથે વધુ પૈસા ખર્ચવા પણ. લાઉડ વોલ્યુમ આપણી સંવેદનાઓને ઓવરલોડ કરી નાખે છે જે સેલ્ફ કંટ્રોલ ઓછો કરી નાખે છે.
       હળવું મ્યુઝિક ડેઝર્ટ અને એક્સ્ટ્રા ડ્રીંક ઑર્ડર કરવા પ્રેરતું હોય છે. વાઈન સ્ટોરમાં ફ્રેંચ મ્યુઝિક વાગતું હોય ત્યારે ગ્રાહકો ફ્રેંચ વાઈન વધુ ખરીદતા હોય છે અને જર્મન મ્યુઝિક વાગતું હોય ત્યારે જર્મન વાઈન વધુ ખરીદતા હોય છે. જે તે દેશનું મ્યુઝિક જે તે દેશની યાદ અપાવે છે જે ખરીદીમાં ફરક લાવે છે. ભાવનાસભર ગીતો વાગતા હોય ત્યારે વેઇટરને ટીપ વધુ મળતી હોય છે.
     વધુ પડતા અવાજથી Tinnitus નામની કાનની બીમારી થઈ જાય છે, એમાં કાનમાં સતત ઘંટડી વાગતી હોય છે. ૩૦ મિલિયન અમેરિકન્સ અને ૬૫ ટકા યુરોપીયંસ આ બીમારીથી પીડાતા હોય છે, કારણ છે કામ કરવાની જગ્યાએ અતિશય અવાજ. ૫૦-૫૫ ડેસીબલ કરતા વધુ અવાજ સ્ટ્રેસ હાર્મોન્સ પેદા કરતો હોય છે.
     બહિર્મુખી લોકો બેક ગ્રાઉન્ડ મ્યુઝિક વાગતું હોય ત્યારે સારું કામ કરતા હોય છે. આવા લોકોને ટીવી ચાલુ હોય ત્યારે પણ ગણિતના દાખલા ગણવામાં કોઈ તકલીફ પડતી નથી. કોલાહલવાળી જગ્યાએ પણ સારું કામ કરી શકતા હોય છે, ઊલટાનું કોલાહલ તેમને કંટાળાથી બચાવે છે. આમ વધુ અવાજ  વધુ ગુસ્સો ધરાવતા લોકોમાં હિંસાનું પ્રમાણ પણ વધારતો હોય છે. એટલે પહેલાના જમાનામાં લડાઈ થતી ત્યારે ઢોલ, નગારા, રણભેરી વગેરે વગાડીને કોલાહલ પેદા કરવામાં આવતો, જેથી આક્રમકતા વધે.
    ઈન્ટ્રોવર્ટ અંતર્મુખી લોકોને વધુ અવાજ ગમતો નથી. આવા લોકોને શાંત જગ્યાએ કામ કરવાનું કે મીટિંગ ગોઠવવાનું જ ફાવતું હોય છે. લાઇબ્રેરી એમના માટે ઉત્તમ જગ્યા હોય છે. ૮૫ ડેસીબલ કરતા વધુ અવાજ હિયરીંગ લોસ શરુ કરી દે છે. ક્યાં કેટલો અવાજ હોય છે તે જોઈએ.
Home: 40 dB
Office: 65 dB
Restaurant: 75 dB
Television: 80 dB
Road Traffic: 85 dB
Subway: 100 dB
Construction: 110 dB
Nightclub: 120 dB
Jet Takeoff: 140 dB
     ૨૩ ઑક્ટોબર, ૨૦૦૧, આઈપોડ નામની ક્રાંતિકારી શોધનું ઉદ્ઘાટન થયું. મ્યુઝિક સાંભળવાનો એક નવો આયામ શરુ થયો. હકીકત એ છે કે મોડરેટ વોલ્યુમ સાથે મોડરેટ સમય પૂરતું આઈપોડ પર મ્યુઝિક સાંભળવું સ્થાયી રૂપે સંભાળવાની ક્ષમતામાં ઘટાડો કરતું હોય છે. આઇપોડની દસમી વર્ષગાંઠ વખતે ન્યુયોર્ક ટાઈમ્સ સાથે એક ઈન્ટરવ્યુંમાં ડેનિયલ લેવીટન નામના ન્યુરો સાયન્ટિસ્ટ કહે છે કે તરુણ બાળકોમાં આઈપોડ સાંભળવાનું વધ્યું છે અને તે પણ ૯૫-૧૦૦ ડેસીબલ લેવલ સાથે. કાનની અંદર cochlea માં સાવ બારીક વાળ હોય છે જેને hair cells કહેતા હોય છે. આ સેલ અવાજને રજિસ્ટર કરતા હોય છે, જે high-pitched ફ્રિકવન્સી ધ્વની વડે એમની શક્તિ કાયમ માટે ગુમાવી દેતા હોય છે. ખૂબ ઊંચા અવાજ વડે નાશ પામ્યા પછી આ સેલ ફરી રીકવર થતા જ નથી. આ હિયરીંગ રીસેપ્ટર કોકલિયાની શરૂઆતમાં આગળ જ સ્થિત હોય છે. અંદર પ્રવેશ કરતા અવાજનો મારો એમનો પહેલો નાશ કરી નાખતા હોય છે.
     જ્યારે તમે બહાર ફરવા જાઓ ત્યારે આજુબાજુનો નજારો જોતા હોવ છો, કોઈ ફૂલોની સુગન્ધ મનને તરબતર કરી નાખતી હોય છે. પક્ષીઓના કલબલાટ મનને આનંદ અર્પતા હોય છે. કંઈક નાવીન્ય અનુભવતા હોવ છો. પણ જો તમે કાનમાં આઈપોડ લગાવ્યું તો જીવનની ઘણી બધી આનંદિત ક્ષણોને ગુમાવો છો. એક બીજો પોઇન્ટ Levitan સાહેબનો જાણવા જેવો છે. મ્યુઝિક બ્રેઈનને અસર કરતું હોય છે, એનો એક રસપ્રદ અનુભવ એ છે કે કોઈ ગીત માઈન્ડમાં સ્ટક થઈ જતું હોય છે. આને “earworm ” કહેતા હોય છે. કાનમાં કોઈ ગીતનો કીડો ઘૂસી જતો હોય છે.  જે ગીત સૌથી વધુ ગમતું હોય તે લાંબો સમય કાનમાં ગુંજ્યા કરતું હોય છે. આઈપોડથી એવું બને કે ઓછો ટકાઉ ટ્રેક પેલાં કીડા ઉપર માસ્ક પહેરાવી દેતો હોય છે. આપણે પોતે પણ બીજા ગીત વિષે વિચારીને પેલાં કીડાને હટાવતાં હોઈએ છીએ. નવું ગીત નવો કીડો બનતું હોય છે. જોકે જુના કીડાએ આપેલું દર્દ ઓછું કરતું હોય છે. આઇપોડની આવી બીજી હકારાત્મક બાબત એ છે કે સતત મ્યુઝિક તમને સુખ આપતું હોય છે, અને બીજા લોકો પ્રત્યે તમારો વ્યવહાર  મૈત્રીપૂર્ણ બનતો હોય છે. ઇયર પ્લગ દ્વારા સીધું કાનમાં ઘૂસતું મ્યુઝિક નુકસાનકારક છે તે હકીકત છે. આઈપોડનો ઉપયોગ પણ લીમીટમાં થાય તો જ સારું.
    અતિશય કોલાહલ નુકશાન કારક છે.

व्यसनेषु किम् दरिद्रता ?

व्यसनेषु किम् दरिद्रता ?  

વર્ષો પહેલા ચા પીવી વ્યસન ગણાતું. આજે ચા પીવી કે પીવો એક સહજ જરૂરિયાત ગણાય છે. અમારા એક સંબંધી કહેતા કે વર્ષો પહેલા ચાનું આટલું ચલન નહોતું. સવારે ઊઠીને લોકો imagesશિરામણ કરતા. યાને બ્રેકફાસ્ટમાં બાજરાના રોટલા સાથે દૂધ પિવાતું. ચા અંગ્રેજો લાવ્યા. શરૂમાં કોઈ ચા પીતું નહિ, માટે ચાના પ્રચાર માટે મફત ચા પિવડાવતા. આજે નવી પેઢી જાણે તો નવાઈ લાગે કે રેલવે સ્ટેશને ચા મફત મળતી. એકવાર પ્રચાર થઈ ગયો અને ચા વગર ચાલે નહિ તેવું થઈ ગયું પછી ચાનો ધંધો ધમધોકાર ચાલવા લાગ્યો. અમે નાના હતા અને ચા પીએ તો મોટેરાંને ગમતું નહિ.

ચા વ્યસન ગણાય અને તેને છોડવું જોઈએ તેવી વાતો થતી. હું છેક ૧૧માં ધોરણમાં બરોડા ભણવા આવ્યો ત્યાર પછી ચા પીતો થયેલો. તમાકુ પણ ભારતમાં અંગ્રેજો લાવ્યા. મુઘલ બાદશાહના દરબારમાં અંગ્રેજોએ તમાકુ પીવાનું પ્રદર્શન કરેલું. ત્યારે  બાદશાહે કહેલું કે તમે મોઢામાંથી ધુમાડા કાઢો છો, અમારા જાદુગરો તો અગ્નિ કાઢે છે. બાકી સિગારેટ, બીડી કે તમાકુ પીવાનું વ્યસન છોડવું સૌથી દુષ્કર મનાય છે.

          વ્યસન એટલે શું? એક એવું બંધન એક એવી વર્તણૂક જેમાંથી છટકવું મુશ્કેલ. જેટલા વ્યસન હળવા એટલાં છોડવા મુશ્કેલ. તમે દારુ પીવાનું છોડી શકો પણ ચા નહિ. છતાં એક હકીકત છે કે કશું પણ કર્યા વગર કોઈ થેરપી લીધા વગર સૌથી વધુ લોકોએ વ્યસન છોડેલા છે. જે નથી છોડી શકતા તેની સરખામણીએ છોડનારા વધુ હોય છે. હા એક કરતા વધુ પ્રયત્નો કરવા પડતા હોય છે, અને છતાં સ્મોકિંગ, ડ્રિન્કિંગ અને ડ્રગ લેવાનું છૂટતું નથી હોતું તેવા લોકોએ પણ વારંવાર પ્રયત્નો કરીને વ્યસન છોડેલા છે.

                  આમ પરિવર્તન કુદરતના નિયમ પ્રમાણે ટેવોમાં અને સ્વભાવમાં પણ આવતું હોય છે. બચપનમાં તોફાની હોય તે મોટો થતા શાંત બની જતો હોય છે. પરિસ્થિતિ પણ ભાગ ભજવતી હોય છે. વિયેટનામ વોર વખતે ૯૦ ટકા અમેરિકન સૈનિકો હેરોઇન ઍડિક્ટ બની ગયેલા હતા. પણ જેવું વોર ખતમ થયું અને પોતાના ઘેર પાછાં ફર્યા પછી મોટાભાગના સૈનિકો આ વ્યસનથી મુક્ત થઈને સામાન્ય પ્રવાહમાં જોડાઈ ગયેલા.

          છૂટવું મુશ્કેલ એવા વ્યસનમાં સ્મોકિંગ સૌથી પહેલા નંબરે છે છતાં કોઈ જાતના નિકોટીન પૅચ, નિકોટીનયુક્ત ચ્યુઇંગ ગમ કે હિપ્નોટિઝ્મ વગેરેની મદદ વગર સ્મોકિંગ છોડનારા સૌથી વધુ છે. હેરોઈનનું ઇન્જેક્શન લઈને બાળકો અને પત્ની સાથે તમે કાકરિયા ગાર્ડનમાં કે ફન રીપબ્લીકમાં ફરવા ના જઈ શકો. કોકેન લઈને તમે બાળકો સાથે ગણપતિ જોવા કે કમાટીબાગમાં ફરવા કે નવરાત્રિમાં ગરબા જોવા કઈ રીતે જવાના ?

     સોશિઅલ સ્મોકર નામ સાંભળ્યું છે ? કોઈ સામાજિક પ્રસંગે કે એવો કોઈ મેળાવડો હોય અને કોઈ મિત્ર જરા બહાર અલગ જઈને સિગારેટનો ટેસડો લેતા હોય અને તમે ત્યાં અચાનક પહોચી જાવ અને નવાઈ સાથે પૂછો કે તમે સિગારેટ પીવો છો ? મને ખબર નહોતી. તો કદાચ જવાબ મળશે કે ના!ના! હું તો આવો કોઈ પ્રસંગ હોય ત્યારે જ પીવું છું રોજ નથી પીતો. અમેરિકન હશે તો કહેશે, “Oh no, I don’t, I’m just social smoker.” આવા સામાજિક ફૂંકણીયા મિત્રોને ખબર નથી કે તેઓ ચેન સ્મોકર જેટલા જ ઍડિક્ટ કહેવાય, ક્યારે લપસણી સીડી પર લપસીને કાયમી ફૂંકવાની આદતમાં સરી પડવાના ખબર પણ નહિ પડે.

સેન્ટર ફૉર ડિઝીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન અમેરિકાના ૨૦૦૮ના સર્વે મુજબ અમેરિકામાં દર વર્ષે ૪,૪૩,૦૦૦ લોકો ફક્ત સિગારેટ પીવાથી મૃત્યુ પામે છે. એમાંથી ૧,૨૮૦૦૦ તો ફેફસાંના કેન્સરમાં દેવ થઈ જતા હોય છે. બાકીના બીજા સિગારેટનાં લીધે થતા હ્રદયરોગ, હાઈપરટેન્શન, સ્ટ્રોક, અલ્ઝાઈમર  અને એવા બીજા રોગોનાં કારણે પ્રભુના રાજ્યમાં પ્રવેશ મેળવી લેતા હોય છે. Dr Joseph DiFranza, medical researcher at the University of Massachusetts Medical School કહે છે સોશિઅલ સ્મોકર એટલે,

૧) દિવસમાં પાંચ કરતા ઓછી સિગારેટ પીતા હોય,

૨) રોજ સિગારેટ પીવાનું જરૂરી સમજતા ના હોય,

૩) એવું સમજતા હોય કે સિગારેટ પીવાની તલપને રોકી શકતા હોય છે.

આવા મિત્રો માનતા હોય છે કે તેઓ સ્મોકિંગ કંટ્રોલ કરી શકે છે કેમકે તેઓ બે ચાર પાંચ કે સાત દિવસ સિગારેટ પીતા નથી હોતા. પણ સત્ય એ હોય છે કે ગમે તેટલા લાંબા સમય સુધી પોતાની જાતને રોકી રાખે એમની નિકોટીન માટેની તલપ, ઇચ્છા અંદર નમ્રતા પૂર્વક ભેગી થતી જતી હોય છે. ધીમે ધીમે આ સુષુપ્તિ સમય ઓછો થતો જતો હોય છે અને ભાઈલો નિયમિત સિગારેટ ફૂંકતો થઈ જતો હોય છે.

          અઠવાડિયે એકાદ સિગારેટથી શરુ કરનાર હેવી સ્મોકર કેમ બની જતો હશે? કારણ કે બ્રેન નિકોટીન પ્રત્યે બહુ ઝડપથી સંવેદનશીલ બની જતું હોય છે. નિકોટીનનાં કારણે  બ્રેનની અંદર રહેલા અડિક્શન માટે જવાબદાર એરિઅની ડેન્સિટીમાં વધારો થતો હોય છે. ફક્ત એક સિગારેટ આ પ્રોસેસ શરુ કરી શકે છે. એક સિગારેટ ફૂંક્યા પછી ફક્ત બે જ દિવસમાં ફરી સિગારેટ પીવાની ઇચ્છા જાગે છે તેવું ડૉ. ડીફ્રાન્ઝાનું કહેવું છે. એમના રિસર્ચ પ્રમાણે અઠવાડીએ ફક્ત બે સિગારેટ ફૂંકતા ટીનેજર બે વર્ષમાં પુખ્ત માણસની જેમ હેવી સ્મોકર બની જતા હોય છે.

અમેરિકન નેશનલ સર્વે પ્રમાણે ૧૮ થી ૨૫ વર્ષની ઉંમર ડ્રગ્ઝ અને ઍલકહૉલ વાપરવા પિક પિરિઅડ ગણાય છે. આ ઉંમરે યુવાનો સૌથી વધુ આવા વ્યસનમાં ફસાતા હોય છે. ૨૨ ટકા અમેરિકન આ ઉંમરના ગાળામાં સૌથી વધુ ડ્રગ્ઝ અને ઍલકહૉલ વાપરતા જણાયા છે, એની કમ્પૅરિઝનમાં ૫૫ થી ૫૯ વર્ષના ફક્ત ત્રણ ટકા જ જણાયા હતા. આમ મોટાભાગના લોકો એમના વ્યસનો ઉપર વિજય મેળવી લેતા હોય છે.

   ૪૦-૫૦ વર્ષ પહેલા અમેરિકામાં ઍડિક્ટ લોકોને ખરાબ ગણવામાં આવતા. એમનામાં શિસ્તનો અભાવ અને કોઈ નૈતિકતા વગરના માનવામાં આવતા, ચારિત્રહીન કહેવાતા. ભારતમાં તો હજુ પણ એવું મનાય છે. પછી નવો આઇડિઆ આવ્યો કે અડિક્શન એ રોગ છે જેવા કે ટી.બી. અલ્ઝાઈમર. એનો અર્થ એવો કે આવા ભારે વ્યસની લોકો ખરાબ માણસો નથી, ફક્ત બીમાર છે. આમ લોકો ઍડિક્ટને ઘૃણા મળવી ઓછી થઈ. સાવ અનૈતિક ગણાવું તેના કરતા બીમાર સમજે તે સારું. જોકે આ નવી સમજે વ્યસની પ્રત્યે ભાવુક સહકાર વધ્યો.

    ખરેખર અડિક્શન અને રોગમાં ઘણો ફરક હોય છે. અડિક્શનમાં કોઈ ટી.બી. જેવા ચેપી જંતુ હોતા નથી. ડાયબીટિઝમાં હોય તેવો  કોઈ પથલૉજિકલ કે બાયલૉજિકલ પ્રોસેસ હોતો નથી, કે અલ્ઝાઈમર જેવી બાયલૉજિકલી ડીજેનરેટિવ કંડિશન હોતી નથી. રોગ જેવી એક સ્થિતિ બંનેમાં સરખી હોય છે કે ધ્યાનમાં નાં લો તો જીવલેણ નીવડે. ન્યુરોબાયલૉજિકલ આઇડિઆ પ્રમાણે ક્રૉનિક બ્રેન ડિઝીઝ કહેતા હોય છે. આને રોગ કરતા રોગના ચિન્હ તરીકે વધુ ઓળખવામાં આવે છે. અડિક્શન એ કૉમન સાઇકૉલોજિકલ સિમ્પ્ટમ છે. અડિક્શન કમ્પલ્સિવ બિહેવ્યર સમજો જેવી કે અકારણ ખરીદી કર્યા કરવી, વધુ પડતી કસરત કરવી, આખો દિવસ ઘર સાફ કર્યા કરવું, રામનામથી નોટબુક ભર્યા કરવી કે આખો દિવસ ફેસબુક ઉપર બેસી રહેવું.

          વ્યસન છોડવા કોણે પ્રયત્ન નહિ કર્યા હોય ? ૮૦ ટકા શરાબી હવે નહિ પીવું કહીને એકવાર બૉટલ ફોડી ચૂક્યા હોય છે, ૬૦-૯૦ ટકા લોકો સિગારેટ છોડીને ફરી પીવાનું  શરુ કરી દેતા હોય છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં ૪૨  મિલ્યન સિગારેટ ફૂંકનારા લોકો સામે ૪૮ મિલ્યન લોકો સિગારેટ છોડી ચૂક્યા છે. પાકા શરાબીમાંથી  ત્રીજા ભાગના લોકો બીજા વર્ષે ચાલુ રાખતા હોય છે. કોકેનનાં બંધાણીઓમાંથી અર્ધા સારવાર લઈને પાંચ વર્ષમાં એમાંથી બહાર નીકળી ગયા હોય છે.

                વ્યસન છોડીને ફરી શરુ થઈ જવું હવે સારી નિશાની મનાય છે કે ચાન્સ છે એનાથી છૂટવાનો. કદી છોડવાનો વિચાર જ ના કરતા હોય તેના કરતા તો સારું કે એમના મનમાં વ્યસન છોડવાનો વિચાર તો એકવાર આવેલો.  G.Alan Marlatt, professor of psychology and director of the Addictive Behaviors Research Center at the University of Washington કહે છે વ્યસન ફરી શરુ થઈ જવું સાયકલ ચલાવતા શીખવા જેવું છે, સાઇકલ શીખતા લગભગ બધા એકવાર તો ગબડતા જ હોય છે. વ્યસનની જે તલપ લાગે છે તેમાંથી છૂટવા માટે કોઈ નવી ટેક્નિક શોધવી પડશે. કંઈક નવું શીખવા અને જાણવા મળે. આમ વ્યસન ફરી શરુ થઈ જવા કોઈ મોટું ડિઝાસ્ટર નથી.

  ઇન્ટરનેટ અડિક્શન વ્યાપક રોગચાળો છે કે પછી ઘેલછા ? ત્રણમાંથી એક વ્યક્તિ માનતો હોય છે કે ઇન્ટરનેટ રોટી, કપડા, મકાન, હવા અને પાણી જેટલું જ જરૂરનું છે. હ્યુમન સર્વાઇવલ માટે ટેક્નૉલોજિની જરૂરિયાત ફરજિયાત નથી તે હકીકત છે. ઇન્ટરનેટ એક સાધન માત્ર છે. કોરિયામાં ઇન્ટરનેટ અડિક્શન મોસ્ટ સીરિઅસ પ્રૉબ્લેમ બની ચૂક્યો છે. ચાઈના પણ ખૂબ સ્ટ્રગલ કરી રહ્યું છે આના નિવારણ માટે. અઠવાડીયામાં ૩૮ કલાકથી વધુ ઇન્ટરનેટ વાપરવું પ્રોબ્લમટિક ગણાય છે. કોરિયામાં ૨૦૦ હૉસ્પિટલમાં ૧૦૦૦ કાઉન્સેલર ઇન્ટરનેટ ઍડિક્ટ લોકોની સારવાર માટે પ્રયત્નો કરી રહ્યા છે.

 અમેરિકામાં ૮-૧૮ વર્ષના બાળકો રોજ ૮-૧૨  કલાક નેટ, ટીવી, કમ્પ્યૂટર, એમ્પિ-૩ પ્લેયર અને વિડિઓ ગેઈમ પર હોય છે. વધારે પડતા ઇન્ટરનેટ વપરાશ સામે બાળકો માટે કોઈ કાયદા છે નહિ. આમાં તો કાયદા કરતા માબાપની સમજ અને બાળકો પ્રત્યે ધ્યાન રાખવાની તૈયારી જ કામ લાગે.

   અડિક્શન અને અડિક્ટિવ બિહેવ્યર સાઇકૉલોજિકલ પેએન અને બેચેનીમાં ત્વરિત રાહત આપે છે. મન તણાવયુક્ત થઈ જાય તો એકાદ સિગારેટ ફૂંકી લેવાથી રાહત થઈ જાય છે. પણ આ રાહત હંગામી હોય છે, પ્રૉબ્લેમનું  કોઈ કાયમી નિવારણ હોતું નથી. અડિક્ટિવ બિહેવ્યરની સીરિઅસ સાઇડ ઇફેક્ટ એ હોય છે કે તે ઇમોશનલ પેએન અને બેચેની દૂર કરવાની સાથે  લાગણીવિહીન પણ કરી નાખે છે. અડિક્શન ભાવશૂન્ય બનાવી નાખે છે.

  આપણે ખાલી સિગારેટ, ઍલકહૉલ અને નશાકારક ડ્રગ્ઝ વિષયક અડિક્શનને મહત્વ આપતા હોઈએ છીએ. એક સિગારેટ, એક ગ્લાસ વાઈન, એક કપ ચા કે કોફી કે એક વૅલિયમની જરૂર છે, તો સમજી લો કે આ ચીજો આપણે પેએન-કિલર તરીકે વાપરીએ છીએ. ખોરાક પણ ક્યારેક અડિક્શનનું કારણ બનતો હોય છે. ઇટીંગ ડિસૉર્ડર વડે પીડાતા લોકો ઇમોશનલ  પ્રસન્નતા માટે ખૂબ ખાતા હોય છે. આ બહુ વહેલું બચપણથી શરુ થઈ જતું હોય છે. જે બાળકો ખૂબ લાગણી ભૂખ્યા હોય, ધ્યાન દોરવા માંગતા હોય કે સ્પેશલ કાળજી ઇચ્છતા હોય તે ખૂબ ખાતા હોય છે.

ઘરમાં મહેમાન આવે ત્યારે બાળકો ખૂબ ધમાલ કરતા હોય છે અથવા ખાવાનું માંગતા હોય છે. આપણે  વધુ પડતું ખાઈને તૃપ્ત થતા હોઈએ તો એવું કહેવા માંગતા હોઈએ છીએ કે “મારે કોઈની પાસેથી કશાની જરૂર નથી, હું મારી જાતે પોષણ મેળવી શકું છું.”  ખાવામાં અરુચિ બતાવી ખાવાનું ના પાડનાર પણ આજ કહેતો હોય છે કે મારે કોઈ પાસેથી ખોરાક મેળવવાની જરૂર નથી, મારે કોઈની પાસેથી કશાની જરૂર નથી. આમ અતિશય ખાનારો અને વધુ પડતો ઉપવાસી બંનેની માનસિકતા સરખી હોય છે. આમ ખોરાક પણ અડિક્ટિવ રસ્તે વપરાતો હોઈ શકે.

          કામ  કરવું સમાજમાં સ્વીકાર્ય હોય છે. ઘણીબધી હરકતો એવી હોય છે કે તેને અડિક્શન માનવું અઘરું હોય છે. વધુ પડતા કામ કરનારા વર્કહૉલિક હોય છે. સતત કામ કર્યા જ કરતા હોય છે. ઘણા ફિટનેશ ફનૅટિક હોય છે. આ બધી પ્રવૃત્તિઓ બ્રેનમાં ડોપામીન રિલીસ કરતી હોય છે અને રિવૉર્ડ સિસ્ટમને ઉત્તેજિત કરે છે, જે સુખાનુબોધ અર્પે છે. આમ એક રીતે ડ્રગ જેવું કામ આપે છે.

               આમ વારંવાર કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ પેએન કિલરનું કામ કરીને આપણને ભાવશૂન્ય બનાવી અડિક્ટિવ બનાવી નાખે છે. વધારે પડતું કામ કરવું, અર્થ વગરની બિનજરૂરી ખરીદી કર્યા કરવી, વધુ પડતી કસરત કર્યા કરવી, આખો દિવસ ટીવી જોયા કરવું, ઇન્ટરનેટ  પર આખો દિવસ બેસી રહેવું, રીડિંગ, ગેમ્બલિંગ, લિસ્ટ બહુ લાંબું થતું જાય છે. જોઈ લો, વિચારી લો કે કોઈ સામાન્ય પ્રવૃત્તિ રિપેટિટિ, કમ્પલ્સિવ તો નથી બની ચૂકી ને ? એક સંબંધી સન્નારીને આખો દિવસ ઘર સાફ કરવાનું અબ્સેશન મેં જોએલું છે. હું મજાકમાં કહેતો કે નગરપાલિકામાં સફાઈ કામદારની જગ્યા ખાલી પડી છે. એમના  ધર્મપતિદેવ પણ કહેતા કે મારા ઘરમાં કોઈ ગયા જનમની સફાઈ કામદાર આવી ગઈ લાગે છે.

    નાના બાળકોને ગુસ્સે થાય તો પોતાની જાતે પગ પછાડે છે કે હાથ પછાડે છે. આમ ઇમોશનલી હર્ટ થાય ત્યારે બાળકો પોતાની જાતને પ્રહાર કરી મન વાળતા હોય છે. પાછળથી એમને સમજ આવે છે કે પોતાના ગુપ્ત અવયવોને સ્પર્શ કરવામાં આનંદ આવે છે. આમ સાઇકલૉજિકલ પેએનથી દૂર ભગવા માટે હસ્તમૈથુન કરતા થઈ જતા હોય છે. આમ ઇન્સ્ટન્ટ ટૅન્શન રિલીવર તરીકે આના ઍડિક્ટ બનતા વાર લાગતી નથી.  આમ સેક્સ પણ અડિક્શન બની શકે છે. પોર્ન સાહિત્ય વાંચવું, પોર્ન મૂવિ જોયા કરવા અને સમાગમ વખતે ફૅન્ટસીમાં રાચવું આવી કમ્પલ્સિવ સેકસુઅલ ઍક્ટિવિટિ અને પ્રોમિસ્ક્યુઇટી ભાવશૂન્ય બનાવી નાખે છે.

 અમુક વ્યસનો શરીરને હાનિકર્તા  છે. અમુક અડિક્શન મનને હાનિકર્તા છે. વ્યસનો અપાર છે. કોઈ પણ વસ્તુ કે ક્રિયાને વ્યસન બનાવી શકાય છે. કોઈ પણ વસ્તુના ઍડિક્ટ બની શકાય છે.

 

 

રાસાયણિક તત્વજ્ઞાન-૬, સુખની જૈવિક પરિભાષા. ( Hard Truths About Human Nature)

રાસાયણિક તત્વજ્ઞાન-૬, સુખની જૈવિક પરિભાષા ( Hard Truths About Human Nature)

સુખની જૈવિક પરિભાષા

આપણા મેમલિઅન પૂર્વજોનાં જીવનમૃત્યુ વિશેના ભયાનક અનુભવો થકી આપણું બ્રેન સુખદુઃખ અર્પતા રસાયણો મુક્ત કરે છે અને તેના વડે સુખની, આનંદની કે દુઃખની અનુભૂતિ થાય છે તે હકીકત છે. આ હકીકત માનવીય લાગણીઓ માટે ધ્રુજાવે તેવું સત્ય છે. સુખ અર્પતા દરેક કેમિકલનો હેતુ સર્વાઇવલ માટેનો હોય છે. બ્રેન જ્યારે કોઈ ખાસ ફરજ બજાવવાની હોય ત્યારે જ હૅપી કેમિકલનો એક નાનો ડૉસ રિલીસ  કરતું હોય છે. આમ આપણને તો સદા સુખનો અનુભવ કરવો હોય છે, પણ તે શક્ય બનતું નથી. જો આ કેમિકલ્સ વિષે સામાન્ય સમાજ આવી જાય તો કોઈ ફિલૉસફી ના કરી શકે તે કામ આ સમજ કરી શકે તેમ છે.

બીજા પ્રત્યે શુભ ભાવના પેદા થવી તે માટે મૅમલ બ્રેન ઈવૉલ્વ થયેલું છે. આપણાં સરીસર્પ પૂર્વજો બીજા માટે સારું ફિલ કરતા નથી. સર્વાઇવલ માટે કામ લાગે તે માટે થઈને મૅમલ બ્રેને  હકારાત્મક ન્યુરો કેમિસ્ટ્રી વિકસાવેલી છે. છતાં કાયમ માટે બીજા મૅમલ ભાઈઓ માટે સદા હૂંફાળી અને પ્રેમાળ લાગણી પેદા થાય નહિ તે પણ હકીકત છે. આમ સર્વાઇવલ ઘણા બધા પરિબળો ઉપર આધાર રાખતું  હોવાથી મૅમલ બ્રેન કાયમ નિર્ણય લેવા ટેવાયેલું હોય છે કે એના માટે સારું કોણ છે કે જેના વડે સર્વાઇવલ માટે સહાય બને.

નાનું બ્રેન ધરાવતા મૅમલ ખોરાક, સાથીદાર (Mates), અને પ્રિડેટર એટલે કે હુમલાખોર વિષે ત્વરિત નિર્ણય લઈ લેતા હોય છે. પ્રાણીઓ ખોરાકની શોધમાં નીકળે તો હુમલાખોરની શક્યતા પણ વધી જાય. છતાં ખોરાકની શોધમાં નીકળવું તો પડે જ. હવે કયું અગત્યનું તે નિર્ણય લેવાનું કામ બ્રેને કરવું પડે. જેમ બ્રેન વધુ મોટું તેમ સામાજિક જોડાણ વધતું જાય છે. સામાજિક જોડાણ સંભવિત પ્રિડેટર થી બચાવે છે, અને સાથે સાથે ખોરાક અને સાથીદાર માટે હરીફાઈ પણ વધારે છે. આમ બ્રેન દરેક ખૂણો તપાસીને નિર્ણય લેતું હોય છે. બ્રેન નિર્ણય કઈ રીતે લેતું હશે ?

આપણે ઘરમાં જરૂર પડે લાઈટ ઑન ઑવ કરીએ છીએ તેમ ન્યુરો કેમિકલ્સનો સ્ત્રાવ ઑન ઑવ કરીને બ્રેન નિર્ણય લેવા ટેવાયેલું હોય છે. હૅપી કેમિકલ્સ એક રસ્તો છે શરીર માટે જણાવવાનો કે આ વસ્તુ સારી છે હજુ વધુ મેળવો. આપણે જન્મ લઈએ ત્યારથી ન્યુરૉન્સ વિદ્યુત સંદેશા મોકલવાનું શીખી ગયા હોય છે. જેના વડે હૅપી કેમિકલ્સનાં સ્ત્રાવ થતા હોય છે. આમ એક ન્યુઅરલ સર્કિટ તૈયાર થતી હોય છે જે ભવિષ્યમાં ફરજ બજાવવા તૈયાર હોય છે.

માનવોની સુખની પરિભાષા બીજા મૅમલ પ્રાણીઓ કરતા અલગ હોય છે. માનવીની સુખ પામવાની રીત પણ બીજા પ્રાણીઓ કરતા અલગ હોય છે. પ્રાણીઓ એમના ભૂતકાળના  અનુભવ પ્રમાણે પુનરાવર્તન કરતા હોય છે. જ્યારે મનુષ્ય નવા નવા રસ્તા શોધી કાઢવા ટેવાયેલો હોય છે. ભૂતકાળના અનુભવોમાં માનસિક રીતે તડજોડ કરીને મનુષ્ય નવા રસ્તા શોધી કાઢતો હોય છે. આમ ટૂંક સમયના સુખના બદલે લાંબા સમયનું સુખ મેળવવાની એની ખેવના વધતી જાય છે. કારણ એની પાસે બીજા પ્રાણીઓ કરતા વધુ મોટું બ્રેન અને વધુ ન્યુરૉન્સ છે.

પ્રાણીઓ સુખની કોઈ વ્યાખ્યા કરતા નથી. તેઓ સુખી નાં હોય તો વિચારતા નથી કે શું ખોટું થયું છે ? કે આ દુનિયાને શું થયું છે ? તેમને કોઈ આશ્ચર્ય થતું નથી. પણ મનુષ્ય પાસે ભૂતકાળના  અનુભવ, વર્તમાન સ્થિતિ અને કાલ્પનિક ભવિષ્ય સાથે ટકરાઈ જવા માટે પુષ્કળ ન્યુરૉન્સ છે. જેથી મનુષ્ય નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે. આમ સુખની માત્રા ઓછી થઈ જાય ત્યારે કુદરતી એની રાહ જોવાને બદલે આપણે કશું કરવા માંગતા હોય છીએ. થોભો અને રાહ જુઓ, ગીતાકારે આને જ અનાસક્ત યોગ કહ્યો લાગે છે શું માનવું છે મિત્રો ?

હ્યુમન બ્રેન એક પૅટર્ન શોધી કાઢતું હોય છે. આ પૅટર્ન પ્રમાણે સુખનાં ફુવારા મેળવવાની કાયમ ઇચ્છા રાખતું હોય છે. ઘણીવાર આ પ્રમાણે બનતું પણ હોય છે, પણ ઘણીવાર આપણે ખોટા પડતા હોઈએ છીએ અને એનો અંત દુઃખ સાથે પરિણમતો હોય છે. નીકળીએ છીએ સુખની શોધમાં અને મળે છે દુઃખ. આપણું કૉર્ટેક્સ હૅપી કેમિકલ્સ ઉપર કોઈ પણ જાતનો કાબુ ધરાવતું નથી. તે ખાલી સંકેતો મેળવી શકે છે. આ પૅટર્ન ક્યારેક ગૂંચવાડા વાળી હોય છે, કારણ તે એક જુદી દુનિયામાં ઉત્ક્રાંતિ પામેલી હોય છે.

આપણાં ન્યુરો કેમિકલ્સનાં સુર તાલ આપણાં DNA માટે શું સારું છે તેની સાથે જોડાયેલ હોય છે.   આપણાં પોતાના ઊંચા ખયાલ સાથે એને કોઈ લેવાદેવા નથી. એટલે સુખની શોધ દુઃખમાં પરિણમતી હોય છે. મૅમલ બ્રેન એવા નિર્ણય લેતું હોય છે જે કૉર્ટેક્સને ગલત લાગતા હોય છે, પણ લાંબા અંતરે જોઈએ તો DNA માટે સારા પણ હોઈ શકે. કોઈ સારા ઘરની દીકરી કોઈ મવાલી સાથે ભાગી જાય ત્યારે કૉર્ટેક્સને બહુ તકલીફ થતી હોય છે. પણ મોટાભાગે મૅમલ બ્રેઈન જીતી જતું હોય છે કેમકે તે હૅપી કેમિકલ્સ ઉપર કંટ્રોલ ધરાવતું હોય છે.

હા ! તો મિત્રો કેવી લાગી આ રાસાયણીક ગીતા ?

 

બાબા બનાવે બાબલા.

બાબા બનાવે બાબલા.
  આમતો બાબાનો અર્થ સાધુ સંત કે ગુરુ થતો હોય છે, પણ ગુજરાતી  લેક્સિકોન ડિક્ષનરી મુજબ એનો એક અર્થ લૂંટારો થાય છે. લગભગ બાબાઓ લૂંટવાનું જ કામ કરતા હોય છે માટે આવો અર્થ ભાષા શાસ્ત્રીઓ ગણતા હશે. બાબો શબ્દ વળી નાના બાળક જે છોકરો હોય તેના માટે વપરાય છે. ગામમાં ઘણા દિવસે જઈએ તો મિત્રો, સગા સંબંધીઓ પૂછે પણ ખરા કે તમારા બાબલા શું કરે છે? શું ભણે છે? આપણાં દીકરાઓ વિષે પૂછતાં હોય છે. દીકરી હોય તો પૂછે  બેબલી શું કરે છે? આમ બાબાઓને મોટા નાના ભણેલા કે અભણ સૌ બાબલા બની રહે તેમાં જ એમનું ભલું દેખાતું હોય છે.
    મળથી છલોછલ ભરેલો નિર્મળ બાબુડીઓ પણ જબરો જાદુગર. એ ય તમારે બેઠો હોય મોટા કીમતી સિંહાસન ઉપર, બાબલાઓ અને બેબલીઓ વારાફરતી હાથમાં માઇક લઈને બોલતા હોય, એકાદ પ્રણામથી ચાલે નહિ, કોટી કોટી પ્રણામ, બાબા તમારી કૃપાથી નોકરી મળી, એડમીશન મળી ગયું, પગ સારો થઈ ગયો, બંગલો મળી ગયો, સમાગમમાં આવવા માટે પૈસાની કે ટીકીટની વ્યવસ્થા થઈ ગઈ. બાબુડીઓ સમાગમ કરે છે, સમાગમનો અર્થ સહવાસ, એકઠા થવું, સહયોગ, મેળાપ, મિલન, પરિચય, પાસે આવવું વગેરે વગેરે થતા હોવાથી કોઈએ એના પ્રચલિત અર્થમાં અનર્થ કરવો નહિ. જેમકે બાબાનો અર્થ લુટારો પણ થાય છે છતાં પહેલો અર્થ મનમાં તો સાધુ સંત જ આવવાનો.
     બાબા રામદેવ જેવી સેઈમ મોડસ ઓપરેન્ડી. બાબા પગના તળિયે કે ઘૂંટણમાં દર્દ હતું પણ કપાલભાતિ કરવાથી મટી ગયું. બાબા આર્થરાઈટીસ હતો પણ ભસ્ત્રિકા કરવાથી મટી ગયો. એજ માઇક અને એજ પ્રલાપ. ખેર પ્રાણાયામ બ્રીધિંગ ટેક્નિક તરીકે સારી વાત છે અને આયુર્વેદ પણ અમુક સામાન્ય દર્દોમાં ઘણો સારું કામ આપે છે. હર્બલ મેડીસીન તરીકે વિખ્યાત છે, ઓછામાં ઓછી સાઇડ ઇફેક્ટ સાથે ક્રોનિક દર્દોમાં ઘણું સારું પરિણામ આપે છે. મને સૂકી ખાંસી થાય તો કફ સિરપ કરતા સિતોપલાદિ ચૂર્ણ વધુ માફક આવે છે. મારું માઇગ્રેન અને સૂર્યાવર્ત કોઈ પેઇન કીલરથી મટતું નહોતું, આયુર્વેદે મટાડી દીધેલું. પણ કેન્સર કે હાર્ટ ઍટેક કે બીજા કોઈ ગંભીર રોગોમાં કામ ના પણ લાગે. જોકે અહી નિર્મળ બાબુડીઓ તો કોઈ દવા વગર અને હાથ પણ લગાડ્યા વગર જ બધું મટાડી દે તો નકામાં કડવા ચૂરણ શું કામ ફાંકવા??બાબા રામદેવ ચેતો??
       બાબુને  ગ્લોરીફાય કરતો બકવાસ બંધ થાય એટલે બાબુ કહેશે ચાલો કાળા કલરના પર્સ, વોલેટ બહાર કાઢો અને ખોલીને સામે ધરી રાખો, બાબો હાથ હલાવે, પર્સ ધરીને બેઠેલી બબૂચક જનતાના મુખ પરના ભાવ જોવાની  મજા આવે, લાલચુઓ વગર મહેનતે પર્સ પૈસાથી ભરી દેવાની ખેવના રાખતા જાણે હાલ પર્સ અને ઘરની તિજોરીઓ ભરાઈ જવાની. કોઈ બબૂચકને પ્રશ્ન મનમાં ઉદ્ભવે નહી કે બાબો એના ઘરની તિજોરીને કાળા રંગે રંગીને હાથ હલાવીને કેમ નથ ભરી દે તો? શા માટે સમાગમમાં હાજરી આપવાની તગડી ૨૦૦૦ રૂપિયા ઍડ્વાન્સમાં ફીસ વસુલે છે? એના બેંક એકાઉન્ટ નંબરમાં પૈસા ભરી દેવાના પછી SMS આવે, અને તે માટે મોબાઈલ નાં હોય તો પહેલા મોબાઈલ ખરીદો. સમાગમ વખતે બૅન્કમાં પૈસા ભર્યાનું ચલન રાખવાનું સાથે એક વેલીડ આઈડી પણ રાખવાનું. બાકી નો એન્ટ્રી. આટલાં બધા મહાન બાબા હોય તે દેશ આજે ગરીબ અને લાખો લોકો પાસે નાં ઘર છે નાં પૂરું ખાવાનું.
   વર્ષો પહેલા હું નાનો હતો ત્યારે વિજાપુરમાં રહેતા હતા. તે સમયે ખેરાલુ બાપુનું વાવાઝોડું ટૂંક સમય માટે આવેલું. બાપુ પાણીમાં ફૂંક મારીને પીવા આપતા અને લોકોના અસાધ્ય રોગ મટી જતા. કદાચ બાપુના પવિત્ર મુખમાં રહેલા બેક્ટેરિયા રોગ મટાડવાનું દુર્લભ કામ કરતા હશે. ઘેલા ગુજરાતમાં વળી પૂછે કોણ? ધંધો એટલો બધો ચાલ્યો કે વ્યક્તિગત પાણીના શીશામાં ફૂંક મારીને બેક્ટેરિયા ફેલાવવાનો સમય ઓછો પાડવા લાગ્યો. તો બાપુએ મેદાનમાં લોકોને એકઠા કરીને માઇલો સુધી પહોચે તેવી ફૂંક મારવાનું શરુ કરેલું. અમારી પડોશમાં એક પી.ડબ્લ્યુ.ડી. ખાતામાં નોકરી કરતા સિવિલ એન્જીનીયર રહેતા હતા, તે વળી આખી જીપ ભરીને પાણીના બાટલા લઈને ત્યાં પહોચી ગયેલા. બાપુએ બે માઈલ  દૂરથી ફૂંક મારીને પાણી પવિત્ર કરી નાખેલું. જાણે ઇડરિયો ગઢ જીતીને આવ્યા હોય અને પરોપકાર કરતા હોય તેમ આખા દેવાણી વાસમાં આ પાણીની બોટલો ફ્રીમાં આપેલી. મારા ઘેર પણ એક બોટલ ભેટ આવેલી. મને ત્યારે પણ હસવું આવતું  હતું અને આજે પણ આવે છે.
     એક મિત્રે આખી જીંદગી ગુરુજી સેવા કરેલી. લાખ રૂપિયાનો ધંધો બગડતો હોય તો બગડવા દે, પણ ગુરુજીનો ફોન આવે તો તરત અમદાવાદ દોટ મુકે. પાર્ટનરે ૧૨ લાખનો ચૂનો ચોપડ્યો તો ગુરુજીએ હાથ ઊંચા કરી દીધા કે કરમ તો ભોગવવા પડે, દેવું ઓછું થયું વહેલું વૈકુંઠ મળશે.
   બાબાઓ પ્લસીબો Placebo ઈફેક્ટનાં જાણકાર હોય છે. irritable bowel syndrome પીડાતા કેટલાક દર્દીઓ ઉપર એક રીસર્ચ કરવામાં આવેલું. આ લોકોને જણાવેલું કે એક્ટીવ ઇન્ગ્રેડીએન્ટસ વગરની આ ટેબ્લેટ રોજ સવાર સાંજ બે વાર લેવાની છે. ૫૯ ટકા લોકોને ત્રણ અઠવાડિયા પછી રાહત થઈ ગયેલી. પ્લસીબો ઈફેક્ટનું એક્જેટ મીકેનીઝમ શું છે તે ક્લિયર નથી. પણ એની અસર થાય છે ખરી. માઈન્ડ કંડીશનિંગ પણ ભાગ ભજવે છે. શરીર શીખતું હોય છે કે એક કેપ્સ્યુલ ખાધી કે તરત રાહત થવાની ચાલુ. અરે પેલાં દર્દીઓને વૈજ્ઞાનિકો કહેલું પણ ખરું કે ગોળીઓ નકલી છે અને પ્લસીબો ઈફેક્ટમાં વિશ્વાસ રાખશો નહિ, છતાં કેટલાંને રાહત થઈ ગયેલી. Ted Kaptchuk નામના રીસર્ચરે હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં આ પ્રયોગ કરેલો.
   તમે કાર ચલાવતા હોવ અને આઇફોનમાં ઈમેલ કે ટેક્ટ મેસેજનો રણકાર સાંભળો તરત તમે પેલાં પાવલોવના કૂતરાની જેમ લાળ ટપકવાનું ચાલુ. પાવલોવ રશિયન વૈજ્ઞાનિક હતો. ચોક્કસ સમયે કૂતરાને ખાવાનું આપે ત્યારે ઘંટડી વગાડતો. પછી ખાવાનું આપ્યા વગર પણ ઘંટડી વગાડે કૂતરાની લાળ ટપકવાની ચાલુ. ઈમેલ કે મેસેજનો રણકાર સાંભળી બ્રેઈન “dopamine squirt ” રિલીજ કરતું હોય છે, જે આપણને ઉત્તેજિત કરતું હોય છે. જયારે તમે દવા સમજીને સુગર પીલ ખાઓ ત્યારે સારું લાગતું હોય છે, દર્દમાં રાહત લાગે. રાહતની લાગણી કરતા કૈક વધુ બની રહ્યું છે, ખરેખર તમારું શરીર એન્ડોર્ફીન્સ રિલીજ કરતું હોય છે, ભલે નકલી ગોળી લીધી હોય. Every mental process is represented in the brain . બ્રેઈનમાં કશી હલચલ નાં થાય તો placebo પણ કઈ કામ ના કરે.
  ન્યુરોસાયન્સ શું છે? બ્રેઇનમા શું ચાલે છે તેનો અભ્યાસ છે. પણ મોટાભાગે આપણે જાણતા નથી કે dopamine અને સેરોટોનીન વચ્ચે શું તફાવત છે? કે હિપોકેમ્પસ અને amygdala શું છે? બસ કશું મગજમાં થયું, શું થયું? ભગવાન જાણે?  કાર ચલાવતા ચલાવતા પણ આઇફોનમાં મેઇલ ચેક કર્યા વગર રહી શકતા નથી, ભલે એક્સીડેન્ટ થઈ જાય. આમ પ્લસીબો ઇફેક્ટ ઘણું કામ કરી જાય છે. પ્લસીબો ટેબ્લેટ એક નાં બદલે બે વધુ કામ આપે છે, નાની કેપ્સ્યુલ કરતા મોટી  કેપ્સ્યુલ વધારે કામ આપે છે, પિલ્સ કરતા ઇન્જેક્શન વધુ રાહત આપે છે, જેમ દર્દ વધુ તેમ પ્લસીબો ઇફેક્ટ પણ વધુ, એક રોગ માટે સાચી દવા લીધી હોય તેજ દવા બીજા રોગમાટે નકલી પ્લસીબો તરીકે વાપરો તો વધુ ફાયદો આપે છે.  એન્ડોર્ફીન્સ પ્લસીબો ઇફેક્ટ માટે જવાબદાર હોય છે.
   બસ આ બાબાઓ જાણે  અજાણે પ્લસીબો ઈફેક્ટનો ઉપયોગ કરતા હોય છે. ડૉક્ટર ખાલી એની ફીસ વસૂલ કરતા હોય છે પણ આ બાબુડીયા તો તન, મન અને ધન સુધ્ધા હરી લેતા હોય છે. આમેય આપણે એડમીશન કે નોકરી માટે પ્રયત્નો કરતા જ હોઈએ છીએ. સફળ થઈએ તો બાબા કહેશે મારા લીધે થયું, નહિ થઈએ તો ફરી એની પાસે જવાના નથી, પણ ૨૦૦૦ રૂપિયા તો ગયાને? બાબુડિયાનાં ગતકડાં જુઓ. એક ભાઈ ૨૦૦૦ રૂપિયા ભરીને ગયા. બાબો પૂછે કે સવારે દૂધવાળો આવે તો દૂધ લેવા કોણ જાય છે? ભાઈ કહે કોઈ વાર હું જાઉં કે છાપું વાંચતો હોઉં તો ઘરમાંથી બીજું કોઈ જાય. બાબો કહેશે બસ દૂધ લેવા જાતે જતા નથી ત્યાંથી કૃપા આવે છે તે અટકી જાય છે. પેલાના ૨૦૦૦ રૂપિયા તો પડી ગયા. બીજાને કહેશે ફલાણા મંદિરે જાઓ છો?  મંદિર નજીકમાં હોય તેના વિષે કહેશે. જો તમે કહો ના તો કહેવાનો મંદિરે જતા નથી માટે કૃપા અટકી ગઈ છે. અને કહેશો હા જાઉં છું તો પૂછવાનો વચમાં શું આવે છે? તમે કહેશો વચમાં કોઈ નાનું દેરું આવે છે, બસ ત્યાં નળિયેર વધેરતા નથી માટે કૃપા અટકી ગઈ છે. તમને પૂછીને બહાનું શોધતા વાર કેટલી??સાવ બકવાસ બાલીશ ગતકડાં કાઢતો નિર્મળબાબા આજે મોટો સેલીબ્રીટી બની ચૂક્યો છે.
ખેરાલુ બાપુ પછી જેલમાં ગયેલા.
ધર્મ એક લાયસન્સ છે લોકોને ડફોળ બનાવી લૂંટવાનું. પેલો પ્રખ્યાત અશોક જાડેજા એકના ડબલ કરી આપતો હતો તેને જેલમાં પણ નાખેલો, અને આ બાબુડીઓ જેલમાં નહિ જાય કેમકે એની પાસે ધર્મનું લાઈસન્સ  છે. ટીવી ચેનલો બીજી જાહેરાતોની જેમ કેમ કહેતી નથી કે આ પેડ પ્રોગ્રામ છે?  pseudo spiritualism એક જુનો રોગ છે ભારતમાં. બધા આમાં સંડોવાયેલા છે, કિરીટભાઈજી, રમેશ ઓઝા, મોરારીબાપુ, સ્વર્ગસ્થ પાંડુરંગ દાદા અને હવે દીદી, આશારામ, રામદેવબાબા થી આજના નિર્મલબાબા સુધી. કેટલાના નામ લખીશું??

સ્વપ્નસરિતા-૨ (Hard Truths About Human Nature)

Sir Edward Tylor was responsible for forming t...
Image via Wikipedia

સ્વપ્ન સરિતા-૨ (Hard Truths About Human Nature)

 રોજ રાત્રે આપણે ઊંઘી જઈએ પછી સ્વપ્ન સરિતામાં ડૂબકાં ખાવા પહોચી જતા હોઈએ છીએ. હા! એનો  સમય દરેક વ્યક્તિએ અને સંજોગો પ્રમાણે ભિન્ન ભિન્ન હોય તે સ્વાભાવિક છે. રેમ પહેલાનો તબક્કો ઊંડી ઊંઘનો હોય છે. માનવ બ્રેઈન વિષે ખૂબ સંશોધન ચાલી રહ્યું છે. સાધુ સંતો, મહાત્માઓની જેમ હવામાં ગોળીબાર કરવાનું વિજ્ઞાનની તાસીરમાં હોય નહિ. છતાં REM બાયોલોજિક રહસ્ય છે તેવું વિજ્ઞાન કબૂલ કરે જ છે. MRI અને FMRI વડે બ્રેઈન વિશેના રહસ્ય ઉકેલવાનાં પ્રયત્નો ચાલુ જ છે. રેમના સાદા અર્થમાં ઊંઘની એવી અવસ્થા જેમાં vivid સપના જોઈ શકીએ છીએ. સ્વપ્નમાં લીમ્બીક સિસ્ટમમાં રહેલા amygdala ખાસ સક્રિય હોય છે. સપનામાં બ્રેઈનના  બીજા સક્રિય ભાગો anterior cingulate gyrus, the parahippocampal gyrus and ventromedial or orbitofrontal cortex હોય છે. The dorsolateral prefrontal cortex is de-activated in REM. Neurochemically, REM sleep demonstrates high activation levels in forebrain dopaminergic and cholinergic circuits as well as cessation of activation in the noradrenergic locus ceruleus and the serotoninergic raphe nucleus. Note that this pattern of activation and deactivation strikingly replicates the pattern associated with impulsive aggression in the waking state.
    સ્વપ્નમાં આમ aggression ખૂબ હોય છે. આમ ૬૦% પુરુષોના અને ૫૧% સ્ત્રીઓના સપનાઓમાં આક્રમકતા ક્યાંક ને ક્યાંક સંકળાયેલી નોંધાયેલી છે. સપના જોનારા વ્યક્તિઓમાં ૪૦% પુરુષો અને ૩૦% સ્ત્રીઓ પોતે જ આક્રમણ કરતા નોંધાયેલા છે. સપનામાં જોવાતી વ્યક્તિઓમાં પુરુષોમાં ત્રણ અને સ્ત્રીઓમાં ચાર સાથે કોઈ પણ પ્રકારની આક્રમકતા જોડાયેલી હોય છે. સપનાઓમાં જોવાતી ૮૦% વ્યક્તિઓ અજાણી હોય છે. આ અજાણી વ્યક્તિઓ મોટા ભાગે પુરુષો હોય છે અને તે સ્ત્રીઓ કરતા પુરુષોના સપનાઓમાં વધારે આવતી હોય છે. આમ અજાણી વ્યક્તિ સપનામાં આવે તો તે સપનામાં ફીજીકલ aggression ઉત્પન્ન થતું હોય છે. REM Behavior Disorder (RBD) વડે પીડાતી વ્યક્તિઓ માટે સપના હકીકત બની જતા હોય છે અને ઊંઘમાં ચીસો પાડવી, મુક્કા મારવા લાતો મારવી, પથારીમાંથી કૂદી પડવું, લડવું ઝઘડવું વગેરે વગેરે કરતા હોય છે. આમ રેમ આક્રમકતા સાથે જોડેલી ઊંઘની સ્થિતિ વધુ હોય છે. એવું પણ નથી કે કાયમ સપનામાં લડતા જ હોઈએ.
      Ref —International Review of Neurobiology, 92, 69-86.; McNamara, P. (2008). Nightmares: The science and solution of those frightening visions during sleep. Westport, CT: Praeger Perspectives.McNamara, P. (2004). An evolutionary psychology of sleep and dreams. Westport, CT: Praeger/Greenwood Press. Barrett, D., & McNamara, P. (Eds.). (forthcoming, 2012). Encyclopedia of sleep and dreams (3 volumes). Westford, CT: ABC-CLIO. McNamara, P., Nunn, C. L., & Barton, R. A.
      એક એકલવાયી ૩૦ વર્ષની પત્ની એક પુરુષ સાથે સપનામાં સંસર્ગ કરતી હોય છે, કે તે પુરુષ તેનો પતિ નથી. એક ૨૦ વર્ષનો  યુવાન સપનામાં અજાણ્યા વ્યક્તિઓ ઉપર મશીનગન ચલાવતો હોય છે, એક વ્યક્તિ વળી સ્વપ્નમાં દુશ્મન પર હથોડા વડે હુમલો કરે છે. જાગતા હોઈએ ત્યારે આવું કદાપિ આપણે હકીકતમાં કરી શકીએ નહિ. આમ સપનામાં કોઈને જીવલેણ માર્યું હોય પણ તે વ્યક્તિને કોઈ જેલમાં પૂરું દેતું નથી. યશવંતભાઈ લખતા હતા ને કે સપનામાં પણ સપનું. સપનામાં પણ ખબર હોય છે પેલી પત્નીને કે જે પુરુષ સાથે સંસર્ગ કરે છે તે એનો પતિ નથી, આવું પુરુષોનું પણ સમજવું. છતાં તે સપનામાં આવું વર્તન કરે છે, અને સુખ, ઇચ્છા, તૃપ્તિ સાથે શરમ પણ અનુભવે જ છે. આમ સપના આપણી નકારાત્મક લાગણીઓ ખાસ ઉજાગર કરતા હોય છે. ખાસ તો નફરત, ભય, ગુસ્સો, આક્રમકતા વગેરે વગેરે લાગણીઓનું નિષ્કાસન સપનામાં થઈ જતું હોય છે. સપના આમ એક માનસિક ઔષધની ગરજ સારતા હોય છે.
   શું પ્રાણીઓ પણ સપના જોતા હશે ખરા? પ્રાણીઓની ભાષા બોડી લૅન્ગ્વેજ હોય છે. એક બિલાડી ઉંદરને જુએ એટલે એની પૂંછ ટટ્ટાર થઈને જુદી રીતે  હાલવા લાગે. ટૂંકમાં શિકાર કે ખોરાક જોઇને એનું શરીર ખાસ પ્રકારની સ્થિતિમાં આવી જાય. વૈજ્ઞાનિકોએ પ્રયોગો કરેલા છે તે મુજબ આવી જ બોડી લૅન્ગ્વેજ બિલાડીમાં ઊંઘતી વખતે રેમ અવસ્થામાં જોવા મળેલી છે. એક અનુમાન છે કે બિલાડી પણ ઊંઘમાં આપણી જેમ ઉંદરના સપના જોતી હોવી જોઈએ.  મેમલ્સમાં રેમ સ્લિપ જોવા મળે છે. પાણીમાં રહેતા મેમલ્સમાં રેમ ક્લિયર નોંધાયું નથી. પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ રેમ અવસ્થામાં ઊંઘ લેતા જોવા મળે છે. સરીસર્પ રેમ અને નોનરેમ બંનેના કમ્બાઈન લક્ષણો નોંધાયેલા છે. આમ સરીસર્પની રેમ અવસ્થા વિષે વૈજ્ઞાનિકો બહુ જાણતા નથી.
    સપનાંમાંથી ઘણીવાર જાગી જઈને ફરી સપનામાં સરી જતા હોઈએ છીએ. અથવા તો લાગે કે આપણે સપનું જોઈ રહ્યા છીએ અને થોડીવાર પછી જાગૃત થતા હોઈએ છીએ. અથવા ઘણીવાર લાગે કે જાગી ગયા છીએ પણ ખરેખર જાગેલા હોતા નથી. અર્ધજાગૃત અવસ્થા જેવું  કહી શકાય. આવી અવસ્થામાં અજબ, શંકાશીલ અનુભવ થતું હોય છે. એક ચાઇનીઝ ફીલોસોફરને સપનું આવ્યું કે પોતે પતંગિયું બનીને ઊડી રહ્યો છે, પણ અર્ધજાગૃત અવસ્થામાં લાગ્યું કે પોતે માનવ છે. હવે એને અજબ અનુભવ થયો કે ખરેખર હું માનવ છું? હું માનવ સપનામાં પતંગિયું બનીને ઊડી રહ્યો છું કે પતંગિયું સપનું જોઈ રહ્યું છે કે માનવ બની ગયું છે? False awakenings, જાગીને જોયું તો જગત દીસે નહિ.
    ટ્રેડિશનલ સમાજોના મોટાભાગના રીલીજીયસ આઈડીયા સપનાઓની પેદાશ છે તેવું Jackson Steward Lincoln અને  Sir Edward Tylor (The dream in Native American and other primitive cultures)કહે છે. સપનામાં જોએલી વાતો ધાર્મિક રીતિ રિવાજ બની જતી હોય છે. યુરોપીયંસ પહેલીવાર અમેરિકા આવ્યા  ત્યારથી માર્ક કરતા કે નેટિવ અમેરિકન્સ એમના સપનાઓને ખૂબ મહત્વ સતત આપતા હતા. જાગૃત જીવન તો મુશ્કેલીઓ  અને હાડમારીઓથી ભરેલું હતું, જ્યારે સપના એમને શક્તિ અર્પતા હતા. અતીન્દ્રિય શક્તિઓ સપના જોનાર વ્યક્તિ સાથે વાતો કરતી હતી, એને તકલીફ પહોચાડી શકતી હતી, આદેશ આપતી હતી. આમ સ્પીરીટ અને  soul નો આઈડીયા આવ્યો. જે વ્યક્તિઓ મૃત્યુ પામી હોય છે તે પણ સપનામાં દેખાતી હોય છે. આમ મૃત્યુ પછીના જીવનનો આઈડીયા આવ્યો. અને આ મૃત વ્યક્તિઓ એમના જીવન વિષે વાતો કરતી હોય છે, સપનામાં ચેતવતી પણ હોય છે, આમ આત્મા અમર છે તેનો ખ્યાલ આવ્યો. આત્માની અમરતાની ધાર્મિક વાતો સપનાની પેદાશ છે, બાય પ્રોડક્ટ કહેવાય. મૃત પૂર્વજો એટલી બધીવાર સપનામાં આવતા કે પછી એમની ભક્તિ કરવાનું મન નાં થાય તો નવાઈ. પશુઓ પણ સપનામાં ખૂબ આવતા, આમ કેટલાક પશુઓની પણ પૂજા શરુ થઈ ગઈ. એક આત્મા બીજા શરીરમાં ઘૂસી જાય તેવો વિચાર પણ સપના દ્વારા ફેલાયો કહીએ તો ખોટું નથી. કારણ લોકો સપના જોતા હોય છે કે વ્યક્તિઓ અને સ્પીરીટ ક્યારેક એનિમલ બની જતા હોય છે અને એનિમલ વ્યક્તિઓ. જોકે રીલીજીયસ આઈડીયા પેદા થવાના બીજા અનેક કારણો હશે, ગ્રેટ ડીબેટનો વિષય છે, છતાં આ એક કારણ પણ હોવું જોઈએ.
  સપના મસાલેદાર ખીચડી જેવા હોય છે. દાખલા તરીકે થોડા મહિના કે દિવસો પહેલા તમે કોઈ ભાલા ફેંકની સ્પર્ધા ટીવી પર જોઈ હોય, પછી કોઈ ફિલ્મમાં ઘોડાની રેસ જોઈ હોય અને દિવસે ભદ્ર આગળ લાલ દરવાજે કશું ખરીદવા ગયા હોય અને રાત્રે સપનું આવે તો હાથમાં ભાલો લઈને ભદ્ર આગળથી તમે ગાંધીરોડ પર ઘોડા બેસીને જઈ રહ્યા છો અને આગળથી લાલબસ પસાર થઈ જાય છે તેવું પણ જોઈ શકો. તમારું બચપણ જ્યાં પસાર કર્યું હશે તેના સપના હજુ વૃદ્ધ થયા હશો તો પણ આવશે. મારે મારા પિતાશ્રી સાથે લાગણીઓનું જોડાણ ખૂબ હતું. આજે પણ તેઓ સાથે હું સપનામાં નાનો બાળક હોઉં તેમ ફરતો હોઉં છું. અમુક ચોક્કસ પરિસ્થિતિમાં અને દિવસોમાં એમનું સપનું આવે જ છે. મેં જાતે માર્ક કર્યું કે કોઈ તકલીફ હોય કે બીમારી હોય કે કોઈ મૂંઝવણ ભરી સ્થિતિ કે દિવસો હોય ત્યારે એમનું સપનું ખાસ આવે છે. બચપણ અને યુવાનીમાં કાયમ એમનું માર્ગદર્શન મેળવ્યું હોય, સહારો, સાથ અને હૂંફ મેળવી હોય તેની માંગ આજે પણ સપના દ્વારા વ્યક્ત થાય છે તેવું મારું તારણ છે. સપનાની ખીચડી થઈ જતી હોય છે અને માટે તે ઢંગધડા વગરના લાગતા હોય છે. પણ તમે યાદ રાખીને વિશ્લેષણ કરો તો ક્યાંક એનો તાળો મળી પણ જાય, અને નાં મળે તો બહુ દુખી થવા જેવું નથી. સ્વપ્ન સરિતાના ઊંડાણ અતલ હોય છે. બસ ડૂબકાં મારો, રીલેક્સ થઈ જાવ અને સવારે તાજામાજા થઈને કામ કરવા નીકળી પડો.

સ્વપ્ન સરિતા-૧ ( Hard Truths About Human Nature)

Rapid Eye Movement (album)
Image via Wikipedia

સ્વપ્ન સરિતા-૧ ( Hard Truths About Human Nature)

     વર્ષો પહેલા એક સંબંધી મારા ઘેર આવેલા. સવારે જાગીને કહે,
‘મારું હાળું કઈ ચરીતર જેવું રાતે થયેલું. જાણે કોઈ છાતી પર ચડી બેસેલું. હાલવા જ ના દે.’
‘ અમારા ઘરમાં તો આવું કશું થવું નાં જોઈએ, અહીં તો રોજ ગાયત્રી મંત્રના જાપ થાય છે, કોઈ  ખરાબ સપનું આવ્યું હશે.’  માતુશ્રીએ જવાબ આપેલો.
  પિતાશ્રી રોજ ગાયત્રી મંત્ર સવારે જાગીને કરતા. પેલાં સંબંધીનાં મનમાં કોઈ ભૂત જેવું હશે ઘરમાં. માટે મધરે ખુલાસો કર્યોકે અમને તો કોઈ દિવસ આવો અનુભવ થતો નથી.
     ઘણીવાર એવું બનતું હોય છે કે અચાનક ઊંડી ઊંઘમાંથી જાગી જઈએ, પણ હલન ચલન કરી ના શકીએ, બોલી પણ ના શકીએ. જોઈએ શકીએ, ખ્યાલ પણ આવે કે રૂમમાં શું થાય છે, પણ હલનચલન બંધ થઈ જાય. એટલે એવું થાય કે કોઈ ભૂત છાતી ઉપર ચડી બેઠું છે. ઘણા મિત્રોને આવો અનુભવ કદાચ થયો પણ હશે. મને પણ કોઈવાર બીમાર હોઉં કે થાક લાગ્યો હોય ત્યારે આવો અનુભવ થયેલ છે. હું કોઈ અભ્યાસ કે સમજણ  વગર મન મનાવતો કે મારું બ્રેઈન જલદી જાગી ગયું છે પણ શરીર હજુ જાગ્યું નહિ હોય. તે સમયે આવી થિયરી મનોમન ઘડી કાઢતો. પણ ભૂતની કલ્પના કદી મને આવતી નહિ.  જોકે આવું ભાગ્યેજ બનતું.
   આવી ભયજનક ડરામણી સ્થિતિને  isolated sleep paralysis (ISP) કહેવામાં આવે છે. આને એવું કહી શકાય કે જાગી ગયા પછી હાલી શકાતું નથી કે બોલી શકાતું અને રૂમમાં કોઈની હાજરી છે ખાસ તો છાતી ઉપર કોઈ ચડી બેઠું છે. આ અનુભવ ડરામણો  હોય છે. ૫૮% લોકોને જિંદગીમાં એકવાર આવો અનુભવ થતો હોય છે. બાકીના લોકોમાં અનેક વાર આવો અનુભવ થતો હોય છે. જે લોકો narcolepsy વડે પીડાતા હોય તેમને આવો અનુભવ સહજ વારંવાર થતો હોય છે. ઊંઘના  ચાર તબક્કાઓ હોય છે. પહેલા ત્રણ ભાગને NREM- Non Rapid eye movement  સ્લિપ કહેવામાં આવે છે, અને ચોથા તબક્કાને REM એટલે કે Rapid eye movement કહેવામાં આવે છે. NREM નો ત્રીજો તબક્કો ઊંડી ઊંઘનો છે. ત્યાર પછી રેમ આવે તેમાં આંખો કશું જોઈ રહી હોય તેમ પોપચાં પાછળ ઝડપથી ફરતી હોય છે, સપના જોવાના શરૂ થઈ ચૂક્યા હોય છે.  ઊંઘવા માંગતો વ્યક્તિ ધીમે ધીમે ચોથા રેમ તબક્કામાં  પ્રવેશ કરે અને તરત જાગી જાય ત્યારે ઉપર મુજબનો અનુભવ થતો હોય છે. Emotional trauma અને psychiatric હિસ્ટ્રી ધરાવતા લોકોમાં આ ભયજનક અનુભવ સામાન્ય હોય છે.  ખેમમાં આપણે સપના જોતા હોઈએ છીએ. રાત્રે ઘણીવાર ભયજનક ડરામણા સપના પણ આવતા હોય છે. જે લોકોને આવા ડરામણા ભયાનક સપના વારંવાર આવતા હોય તેઓ  ISP ની  ફરિયાદ કરતા હોય છે. જોકે એમને આવી ખબર હોતી નથી, તે લોકો તો ભૂતની કલ્પના જ કરી લેતા હોય છે.

    એક સ્ટડી પ્રમાણે જાપાનમાં ૯૦,૦૦૦ પુરુષો ISP થી પીડાતા નોંધાયા છે. સ્લિપ પેરાલીસીસ  પ્રાચીન સમયમાં સુપર નેચરલ ફોર્સ જેવા કે દૈત્ય કે ભૂતના નામે સમજાયેલા છે. સન ૧૬૬૪મા ડચ ફિજીશીયને (Isbrand Van Diemerbroeck ) આવા ISP

થી પીડાતા કેસ ભેગાં કરીને પબ્લીશ કરેલા. આમાં ઊંઘતા વ્યક્તિને કોઈ અજાણ્યા  વ્યક્તિની હાજરી રૂમમાં હોય તેવું લાગતું હોય છે. મોટા ભાગે તે પુરુષ હોય છે, અથવા કોઈ એવું ક્રિયેચર જેની કોઈ જાતી હોય નહિ. લગભગ ગુજરાતીમાં કહીએ તો ભૂત, ચુડેલ કે પલિત. એને હટાવવા ખૂબ સ્ટ્રગલ કરતા હોય છે, ક્યારેક જીત મેળવી લેતા હોય છે. ઘણા એવું પણ માનતા હોય છે કે એમના શરીરનો કબજો કોઈ એલિયન એટલે પરગ્રહવાસીએ લઈ લીધો છે.

    ISP નું મૂળ કારણ સાદી ભાષામાં કહીએ તો REM નું અકાળે અવસાન. પણ એમાં કોઈની હાજરી કે ભૂત ચડી બેઠું છે એવો ભાસ કેમ થતો હશે? મધર નેચરે ઓટોમેટીક પ્રીડેટર ડીટેકટર આપણી અંદર મૂકેલું છે. ઊંઘમાં કે ઘેનમાં આપણે અસહાય હોઈએ છીએ, તેવા સમયે કોઈ પ્રીડેટર હુમલો કરી શકે છે.  ISP અર્ધજાગ્રત અવસ્થામાં હુમલાખોરથી એક ચેતવણી સમાન રિસ્પોન્સનું પ્રતિબિંબ છે.  એટલે હુમલો કરનાર કોઈ બીજું જોઈએ તો ખરુંને? એટલે આપણે ધારી લઈએ છીએ કે કોઈ છે. ઊંઘની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પ્રવેશ દરમ્યાન ઓચિંતો ચેતવણી એલાર્મ વાગી જાય ત્યારે ISP અનુભવ થતો હોય છે. આપણે ઓચિંતાં એલાર્મ વડે જાગી જઈએ છીએ પણ શરીરને જાગતા થોડી વાર લગતી હોય છે. એટલે ગભરાયા વગર થોડી રાહ જોવા સિવાય બાજુ શું કરી શકો?
   અમારા એક સંબંધી રજાના દિવસે  બપોરની સુંદર મજાની ઊંઘ ખેંચીને કશું ખરીદવા કાર લઈને નીકળ્યા અને રસ્તામાં ફરી થોડીવાર માટે ઊંઘી ગયા. પરિણામમાં વિદ્યુત સ્તંભ જોડે મિલન થઈ ગયું. તેવામાં ડેનવર, મેડિકલ કૉલેજમાં ન્યુરોસાયન્સ વિભાગમાં પ્રોફેસર અને એપીલેપ્સી પર રિસર્ચ કરતા મારા ભત્રીજા આવેલા, તેઓ સાથે આ સ્તંભ મિલન વિષે ચર્ચા કરતા નાર્કોલેપ્સી શબ્દ પહેલી વાર મેં સંભાળ્યો હતો. એમણે શંકા વ્યક્ત કરેલી કે સરસ ઊંઘ ખેંચ્યા પછી કાર ચલાવતા ઊંઘી જવાય તો નાર્કોલેપ્સીના દર્દી હોઈ શકે, કોઈ સારા ડાક્ટરની સલાહ લેવા જેવી. નાર્કોલેપ્સીના દર્દીઓ સીધા REM  પ્રવેશ કરી લેતા હોય છે. આવા દર્દીઓએ કાર ચલાવવી બને ત્યાં સુધી ટાળવી જોઈએ. રેમ અવસ્થામાં આપણાં સ્નાયુઓ સાવ શીથીલ થઈ જતા હોય છે. બાકી આમ તો ઉજાગરો હોય તો ઘણા બધા કાર ચલાવતા એક ક્ષણ માટે ઝોકું ખાઈ લેતા હોય છે. મને એકવાર બાઈક ઉપર આવો અનુભવ થયેલ. એક લગ્નમાં જંબુસર ગયેલો, આખી રાતનો ઉજાગરો હતો ને સવારે બરોડા આવવા નીકળી પડેલો. પાછળ એક સંબંધી બેઠેલા હતા. રસ્તામાં મને ફિલ થયુકે ક્ષણ માટે ઊંઘી ગયો લાગુ છું. એક ટી સ્ટૉલ આગળ બાઈક ઊભી રાખી કડક કોફી પીધી અને બાઈક પેલાં ભાઈને ચલાવવા આપી દીધી હતી. બસ પછી બરોડા આવતા સુધી એમની પાછળ ઝોકા ખાધે રાખેલા.

આક્રમકતા શું અનિવાર્ય છે?

English: Konrad Lorenz Français : Konrad Lorenz
Image via Wikipedia

આક્રમકતા શું અનિવાર્ય છે??

ઓસ્ટ્રીયન ethologist Konrad Lorenz (1903 -1989 ), કહે છે કે આક્રમક રવૈયો માનવ સ્વભાવમાં જન્મજાત હોય છે. આક્રમકતા પૂર્વક વર્તન કરવું આપણાં શરીરમાં ઇન બિલ્ટ હોય છે. એક ટાંકીમાં પાણી ઊભરાઈ જાય તે પહેલા થોડું વહાવી દેવું જરૂરનું છે તેમ ગુસ્સો પણ થોડો નિષ્કાષિત થઈ જાય તે જરૂર છે. એના અહિંસક રસ્તા શોધી શકાય છે, જેમ કે ટેનિસ રમીને , કે ફૂટબોલને લાતો મારી મારીને તમે નાઈસ વ્યક્તિ બની શકો છો. લગભગ મોટાભાગના ખેલાડીઓ શાંત અને નમ્ર હોય છે.
      આક્રમકતા, હિંસા અને ગુસ્સો માનવ સ્વભાવમાં સામાન્ય છે. માનવ જાતને સૌથી વધુ ખતરો માનવ જાતથી જ છે. આ પૃથ્વી ઉપર માનવ જાતે એના જાતિ બંધુઓની સૌથી વધુ હત્યાઓ કરી છે, બીજા પ્રાણીઓ એવું કરતા નથી. સર્વાઈવલ માટે દરેક પ્રાણીને લડવું પડતું હોય છે, તે વાત જરા જુદી છે. હિંસક પ્રાણીઓ પણ એના જાતી બંધુની હત્યા ભાગ્યેજ કરતા હોય છે. વાઘ કે સિંહ બીજા વાઘ કે સિંહ સાથે એમના અસ્તિત્વની લડાઈ લડતા હોય છે, પણ એમાં હત્યા ભાગ્યેજ કરાતી હોય છે, બહુ બહુ તો મારીને ભગાડી મૂકવાનો.
    ઘણા પ્રાણી સમાજ એવા છે કે ત્યાં આક્રમકતા બહુ ઓછી જોવા મળે. અથવા સાવ નહિવત્ હોય છે. એ બાબતમાં ગાય બહુ શાંત પ્રાણી છે. દરિયાઈ કાચબા પણ ખૂબ શાંત હોય છે. માઉન્ટેન ગોરીલા પણ બહુ જેન્ટલ જાયન્ટ્સ  ગણાય છે. એની સામે spotted Hyena ખૂબ ખૂંખાર હોય છે. અરે એમના બચ્ચા જેમની હજુ આંખો પણ ઊઘડી હોતી નથી, એમના સાથે રહેતા ભાઈઓને મારી નાખવાનો પ્રયત્ન કરતા હોય છે. Hyena કબ્સ તીક્ષ્ણ કેનાઇન દાંત સાથે હત્યા કરવા પ્રીપ્રોગ્રામ્ડ જન્મ લેતા હોય છે. માનવ જાત ક્યાંક ગાય અને હાયના વચ્ચે બિરાજમાન છે. લાગે છે ગાય કરતા દૂર અને હાયના કરતા નજીક.
   આ આક્રમકતા અને હુમલો કરવાની વૃત્તિ સાથે ક્યાંક ઇકોનોમિકસ પણ જોડાયેલું છે. મધર નેચર બહુ સારી રીતે જાણે છે કે ક્યાં અને કઈ રીતે એની વિપુલ સંપદા વાપરવી. એટલે પ્રાણી જગતમાં aggression ત્યાં જોવા મળે છે જ્યાં ફાયદો વધારે હોય અને ચૂકવવી પડતી કિંમત ઓછી હોય. ઘણી પ્રાણીઓની જાતમાં હિંસક સ્વભાવ કે આક્રમકતા ખાસ જોવા મળતી નથી, કેમકે ત્યાં એવા વલણનો કોઈ ફાયદો હોતો નથી. ઘણા પ્રાણીઓમાં વ્યક્તિગત આક્રમકતા ઓછી જોવા મળે કે ત્યાં ફાયદા કરતા કિંમત વધુ ચૂકવવી પડે.પણ જે જાતોમાં aggression માટે બેનીફીટ મોટા પ્રમાણમાં હોય અને ચૂકવવી પડતી કિંમત બહુ ઓછી હોય ત્યાં આક્રમક રવૈયો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતો હોય છે. આ બેનીફીટ અને કોસ્ટ છે શું??
     હરીફાઈ આક્રમકતાની જનની છે. એક જ વસ્તુ માટેની  જરૂરિયાત અને ઇચ્છા બે કે વધારે વ્યક્તિઓ વચ્ચે ટકરાય ત્યાં આક્રમકતા આવવાની. આપણે શું ઇચ્છીએ છીએ તેની સાથે આક્રમકતાનો ફાયદો જોડાયેલો છે. બધા સજીવો ખોરાક, mates અને વિસ્તાર કે જગ્યા માટે હરીફાઈ કરતા હોય છે. ખોરાકની જરૂરિયાત અને તેના માટે લડવું કોઈ પ્રાણી માટે કીમતી હોય છે. જ્યારે બીજા પ્રાણી માટે એટલું મહત્વનું હોતું નથી. એક વૃક્ષ ઉપરના ફળો માટે એક વાનર બીજા તમામને ખદેડી મૂકે તો એના માટે ખોરાકની શક્યતા ખૂબ વધી જાય. કારણ અહીં જે જીતે તે આખા વૃક્ષનાં ફળ મેળવી શકે. અહીં આક્રમકતાનો ફાયદો બહુ મોટો છે. પણ એક મોટા મેદાનમાં ચરતી ગાય માટે આક્રમક બનીને બીજી બધી ગાયોને તગેડી મૂકવું અઘરું છે. કારણ ઘાસ બધી જગ્યાએ છે અને બહુ મોટા વિસ્તારમાં હોય છે. એના કરતા શક્ય તેટલું પેટમાં ઓરી લેવું બીજી ગાયો શું કરે છે તેની ચિંતા કર્યા વગર. અને ગાયો આખો દિવસ આજ કરતી હોય છે. દરેક પ્રાણીઓનો પોતાનો એક વિસ્તાર કે એરિયા હોય છે. તેના રક્ષણ માટે જીવ સટોસટની લડાઈ જામતી હોય છે. આ વિસ્તાર એમનો છે તેવું બીજા પ્રાણીઓને જણાવી રાખવા માટે ઠેક ઠેકાણે મૂત્ર વિસર્જન કરીને એની ગંધ મૂકતાં હોય છે. હવે શહેરમાં વૃક્ષ રહ્યા ના હોય તો ઇલેક્ટ્રિક પોલ ઉપર કૂતરા મૂત્ર વિસર્જન કરીને બીજા કૂતરાને ચેતવતા હોય છે કે ભાઈ આ મારો વિસ્તાર છે, અનધિકૃત પ્રવેશ બંધ છે. Mates માટેની લડાઈઓ આપણે જાણીએ છીએ. એક આમ્રપાલી માટે આખું વૈશાલી અજાતશત્રુએ ભસ્મીભૂત કરી નાખેલું.
      આક્રમક બનીને લડવામાં ચૂકવવી પડતી કિંમતમાં એક તો પોતાને શારીરિક ઈજા થાય, અને ફેમિલી મેમ્બરને પણ એમાં નુકશાન થાય. ફાયદો નુકશાન કઈ રીતે લડાઈ લડવામાં આવે છે તેનાં ઉપર આધાર રાખે છે. પ્રાણીઓ પાસે મોટા ધારદાર દાંત, ફાડી નાખે તેવા જડબા, અને મોટા શિંગડા હોય છે. જો આવા હથિયાર તેઓની પાસે ના હોય તો એમને આક્રમક બનીને હુમલો કરવાની બહુ મોટી કિંમત ચૂકવવી પડે. પણ પોતાની જાતનાં બીજા પ્રાણી સામે લડવામાં આનો ઉચિત ઉપયોગ ના થાય તો?? સિંહ જબરદસ્ત શિકારી છે, પણ બીજા સિંહને મારી નાખે તેવું ભાગ્યેજ સંભાળવા મળે.
    માનવા જાતમાં સમ્પદા માટે આક્રમક બનીને તેને monopolized કરી શકાય છે. જીતેલો બધું રાખીલે. અહીં આક્રમકતાનો ફાયદો બહુ મોટો છે. વળી માનવો બીજા પ્રાણીઓની જેમ ડેન્જરસ શાર્પ દાંત, શિંગડા કે મજબૂત જડબા વડે સજ્જ હોતા નથી. એમાં વળી માનવ જાતે દૂરથી ફેંકી શકાય તેવા હથિયાર બનાવ્યા, જેથી દૂરથી હથિયાર ફેંકીને કોઈને પણ મારી શકાય. આમાં હિંસા સામે ચૂકવવી પડતી કિંમત ઓછી થઈ ગઈ. હાથોહાથની લડાઈમાં કિંમત ઘણી ચૂકવવી પડે. હાથમાં ચાકૂ લઈને મારવા જવું તેના કરતા બંદુકનો ભડકો કર્યો હોય તો વળી રિસ્ક બહુ ઓછું. અમેરિકામાં કહેવાય છે કે કોઈ બંદુક કોઈને મારતી નથી, લોકો બીજા લોકોને મારે છે. સાદું સત્ય એ છે કે હાથમાં બંદુક લઈને કોઈને મારવાની કિંમત ઓછી ચૂકવવી પડે જ્યારે બંદુક વગર કોઈને મારવા જાવ તો કિંમત બહુ મોટી ચૂકવવી પડે. આમ બંદુક વગરના લોકો કરતા બંદુકધારીઓએ બહુ મોટી હત્યાઓ કરી છે.
   આમ માનવ જાત આક્રમક છે કેમકે આક્રમકતા એક કીમતી સાધન છે જે ઓછી  કીમતે પ્રાપ્ત છે. છતાં આ આક્રમકતા ઓછી કરી શકાય છે. Homo sapiens પાસે આક્રમક બનવા માટેની ક્ષમતા  ખૂબ મોટી હોય છે. ભલે આપણે તે જાણતા હોઈએ કે નહિ, ભલે આપણે આક્રમક કે પછી નમ્ર બનીને હરીફાઈ કરીએ, બધું આધાર રાખે છે આસપાસના વાતાવરણ ઉપર. આપણે આક્રમકતાના ફાયદા ઓછા કરીને ચૂકવવી પડતી કિંમત વધારીને આક્રમકતા ઓછી કરી શકીએ છીએ. સજા કરીને કે કરેલી  હિંસા માટે કોઈ રીવોર્ડ ચૂકવાનું બંધ કરીને કે નીતિમત્તા કે મોરાલીટી શીખવીને પણ હિંસક વલણ ઓછું કરી શકાય છે. ધર્મોનું શિક્ષણ ખરેખર માનવજાતમાં રહેલી હિંસક વૃત્તિ ઓછી કરવા માટે હતું, એના બદલે ધર્મોને જ આડ બનાવીને માનવોએ સૌથી મોટા હત્યાકાંડ કર્યા છે
 

પ્રેમનાં પુષ્પો એક રાસાયણિક સંયોજન. (Hard Truths About Human Nature ).

પ્રેમના પુષ્પો એક રસાયણિક સંયોજન. (Hard Truths About Human Nature ).

Love Love Love
Image by Gregory Jordan via Flickr
પ્રેમની જૈવિક  પરિભાષા જોઈશું?
 પ્રેમ સ્પષ્ટ રૂપે સેક્સ સાથે જોડાયેલો હોય છે, હેપીનેસ સાથે પણ જોડાયેલો હોય છે. સાથે સાથે પ્રેમ સ્ટૅટ્સ સાથે પણ જોડાયેલો હોય છે, આ માનવામાં આવે નહિ, અને કોઈનો એવો હેતુ પણ દેખીતી રીતે હોતો નથી. કિન્તુ પરંતુ ટિપિકલી જે વ્યક્તિ સ્ટૅટ્સ વધારવામાં મદદકર્તા હોય તેના પ્રેમમાં લોકો પડતા હોય છે. સ્ટૅટ્સ વિષે અગાઉના લેખોમાં ઘણું બધું કહેવાયું છે અહી પુનરાવર્તન કરતો નથી. હાઈ-સ્ટૅટ્સ ધરાવતી વ્યક્તિ કોઈ લો સ્ટૅટ્સ ધરાવતી વ્યક્તિના પ્રેમમાં પડે ત્યારે આ રૉમૅન્સ તેના ફેમિલીના આધિપત્ય સામે બળવો કરીને પોતાનું આગવું સ્ટૅટ્સ અને આધિપત્ય ઉભું કરતો હોય છે.પ્રેમ એક મોટો હૅપી કેમિકલ્સનો ડૉસ માત્ર છે. એક મોટો ન્યુરો કેમિકલ્સનો ફુવારો છે જે જિનેટિક સર્વાઈવલનાં હેતુ માટે મૅમલ બ્રેને આપેલો રિસ્પૉન્સ છે. જિનેટિક સર્વાવલનાં હેતુ માટે જે વ્યક્તિ મદદકર્તા લાગે, અર્થપૂર્ણ લાગે તેના પ્રેમમાં પડી જવું સહજ છે. આમ ન્યુરો કેમિકલ્સ દ્વારા બ્રેન બહુ મોટું મૂડી રોકાણ કરતુ હોય છે જે જિનેટિકલી સર્વાઇવ થવામાં મદદ કરે.પ્રેમ એ કોઈ એક હૅપી કેમિકલ નથી, અનેક હેપી કેમિકલ્સનું કૉકટેલ છે. પ્રેમ એ  બ્રેનની  સમૃદ્ધ બક્ષિશ છે, એના માટે જે પણ કઈ કરો તે રીપ્રૉડક્ટિવ સફળતા તરફ દોરી જાય છે. Sex is the small part of the story. પ્રેમ એક સાથી શોધવા માટે તમને પ્રેરણા આપે છે જે તમારો વારસદાર મૂકી જવામાં મદદ કરે. વારસા માટે તમે જે વિચારતા હોવ તેના પ્રત્યે મૅમલ બ્રેન ધ્યાન કેન્દ્રિત કરતુ હોય છે, અને તે રીતે અનુકુળ  સાથી શોધવાની તૈયારી કરતુ હોય છે. અને જયારે કોઈ સ્પેશલ દેખાઈ જાય તો મૅમલ બ્રેનને એમાં એક્સ્ટ્રા લાર્જ boost વારસદાર માટે દેખાય છે અને એક એક્સ્ટ્રા લાર્જ  હૅપી કેમિકલ્સનો ડોસ આપતું હોય છે. Love is an extra-large link between status and happiness.

પ્રેમ ક્યાંક છે સિરોટોનિન આધિપત્ય. તો વળી ક્યાંક છે મંજિલ પામવા જોઈતો વધારાની શક્તિનો ડોપમીન સ્ત્રોત. એમાં ભળે છે અટલ વિશ્વાસનું ઑક્સિટોસિન. તો વળી એમાં સામેલ થાય છે ઇસ્ટ્રોજન આમંત્રણ, કેસરિયા !!! કેસરિયા બાલમ આવો ને પધારો મારે દેશ રે !! અને એમાં ભળે છે ઍસ્ટ્રોજન આલાપ,

આજ  જાને કી જીદ ના કરો,

યુ હી પહેલું મેં બૈઠે રહો,

આજ જાને કી જીદ ના કરો.

હાય મર જાયેંગે,

હમ તો લુટ જાયેંગે ઐસી બાતે કિયાના કરો,

આજ જાને કી જીદ ના કરો.

અંતે બની જાય છે પોતાનું સત્વ રોપવાની ટૅસ્ટાસ્ટરોન મથામણ. પરિણામ સ્વરૂપ ગોદમાં રમે છે સુંદર સંતાનો, પ્રેમની નૌકામાં સહજીવનની મધુર યાત્રા શરુ થઇ ચૂકી છે.

એલિવેટર બિહેવિયર.(Hard Truths About Human Nature)

English: Rhesus Macaques (Macaca mulatta) in A...
Image via Wikipedia

એલિવેટર બિહેવિયર.

ફિલ્મોમાં એવું બતાવવામાં આવતું હોય છે કે કોઈ બંધ જગ્યાએ મર્ડર થતું હોય તેમાં એલિવેટર સૌથી વધુ માર્ક્સ લઈ જાય છે. મતલબ એલીવેટરમાં વધુ મર્ડર થતા હોય તેમ બતાવવામાં આવતું હોય છે, પણ વાસ્તવિકતા જુદી છે. કાતિલાના હુમલાની શક્યતા વર્ચ્યુઅલિ ઝીરો હોય છે. છતાં તે પણ હકીકત છે કે લિફ્ટમાં થોડાક ક્ષણોની મુસાફરી પણ લોકો સલામતીના ધોરણે ગંભીર વર્તણૂક સાથે પૂરી કરતા હોય છે. જો લિફ્ટમાં એકલાં જવાનું આવે તો બિહેવિયર નૉર્મલ હોય છે, પણ બીજા સાથે હોય તો વાત જુદી બની જાય છે. જો એલિવેટરમાં ખૂબ ભીડ હોય તો લોકો ચુપચાપ ઉભા હશે, ઉપરની છત તાકતા હશે, નીચે ફ્લોર પર દ્ગષ્ટિ કરીને ઉભા હશે, કેટલાક લોકો એમની ઘડિયાળ વારંવાર જોતા હશે, અને કેટલાક લોકો સામે બટન પૅનલ જોઈ રહ્યા હશે જાણે જિંદગીમાં પહેલીવાર  જોઈ હોય. બે અજાણ્યા લિફ્ટમાં ભેગાં થઈ જશે તો જેટલા દૂર ઉભા રહેવાય તેટલા ઉભા રહેવાના, સીધું એકબીજા સામે જોવાનું ટાળશે, આંખોમાં આંખો મેળવવાનું પણ ટાળવાના, ઓચિંતી હલચલન અને ઓચિંતો અવાજ કરવાનું પણ ટાળશે.
     આપણે વિચારશું કે લિફ્ટમાં ઑક્વર્ડ પરિસ્થિતિમાં લોકો નમ્ર બનવાનો પ્રયત્ન કરતા હશે. આપણી એલિવેટર બિહેવિયર કોઈ રેશનલ થીંકીંગનું પરિણામ હોતી નથી. સત્ય જુદું છે આવી બિહેવિયર સ્વયમચલિત હોય છે. અચેતન રૂપે કરવામાં આવતી વર્તણૂક છે. આને સ્થિતિને અનુરૂપ જન્મજાત વૃત્તિ કે સહજવૃત્તિ કહી શકાય. મૂળ તો આવી વર્તણૂક આક્રમકતા ઓછી કરવાના પરિણામ સ્વરૂપ હોય છે. અકારણ વિખવાદ ટાળવાની વૃત્તિ છે, સલામતીના ધોરણે કરવામાં આવતી વર્તણૂક છે. એલિવેટર તો હમણાં શોધાયા, પણ માનવ ઇતિહાસમાં આવી સ્થિતિ કાયમ આવતી હશે. ચાલો,
      કલ્પના કરો કે બે  Paleolithic cavemen કોઈ મોટા શિકારની પાછળ પડ્યા છે. અને આમ કરતા કરતા કોઈ નાની અંધારી ગુફામાં પહોચી ગયા છે. હવે અહી શિકાર હાથ નથી આવતો પણ એમના જેવો બીજો કોઈ ભૂખ્યો કેવમેન હાથમાં દંડા સાથે ભટકાઈ જાય છે, તો પહેલી હિલચાલ તો છટકવાની રહેવાની.  Paleolithic યુગમાં હત્યા કરવી socially awkward situations બહાર નીકળવા માટે સહજ હતું, જેટલું  આજે આપણે સાંજે કોઈ પ્રસંગમાં  કે પાર્ટીમાં હાજરી આપવી ના હોય તો ડૉક્ટરની એપોઇન્ટમેંટ છે તેવું બહાનું કાઢીએ છીએ. ગુફામાં ગુફાવાસીનો એક દંડો માથામાં પડે તો પાર્ટી ઇજ ઓવર. પણ કોઈ વાર કેવમેનને કોઈ કેવવુમન ભટકાઈ જવાના ચાન્સ પણ પ્રાપ્ત થઈ જાય તો રીપ્રોડક્શન માટે તક ઊભી થઈ જાય. પણ મેલ કેવમેન સાથે મેલ કેવમેનનો સામનો થઈ જાય તો ખરાબ ન્યૂઝ. આજ પ્રકારે યુગાન્ડામાં એક ચિમ્પાન્ઝીનો ભેટો બીજા સમૂહના ચિમ્પાન્ઝી સાથે થઈ જાય તો તે પેલાં ચિમ્પાન્ઝીના ગળા ઉપર વાર કરશે અને એના વૃષણ તોડી નાખશે જેથી સર્વાઇવ થઈ જવાય તો ભવિષ્યમાં રીપ્રોડક્શન માટે ચાન્સ વધી જાય.
     એપ્સ માઈન્ડ વિકસતું વિકસતું એપ્સ જેવા માનવી સુધી પહોચ્યું, અને પછી કેવમેન અને આજે આપણે માનવો સુધી પહોચ્યું છે. ભયજનક સામાજિક સ્થિતિમાં કે શરીરને ઈજા થાય ત્યારે આપણું મન જે રિસ્પૉન્સ આપતું હોય છે તેમાં કરોડો વર્ષથી કોઈ ફેરફાર થયો નથી. Primate minds જેવી રીતે સામાજિક જોખમો સામે જે રીતે પ્રતિક્રિયા કરતા તેમાં કોઈ ખાસ ફરક આજે પણ થયો નથી. ઊલટાનું ઉત્ક્રાંતિ અને વિકાસનો ક્રમ અમુક બાબતોમાં એટલો બધો ચુસ્ત હોય છે કે માનવ, ચિમ્પાન્ઝી અને macaque monkey દરેકની વર્તણૂક અમુક વખતે સાવ સરખી લગતી હોય છે, એમાં કોઈ ફેરફાર ૨૫ મિલિયન વર્ષથી થયો હોય તેવું લાગતું નથી.
     એલિવેટર બિહેવિયર વૈજ્ઞાનિક રિસર્ચ માટે કોઈ પ્રખ્યાત કે જાણીતું મહત્વનું ટૉપિક નથી. ૧૯૬૦મા આના વિષે વિચારવિમર્શ શરુ થયો હતો. એન્થ્રોપોલોજીસ્ટ Edward T . Hall નામના લેખકે ૧૯૬૬મા Hidden Dimension નામની એક બુક લખેલી. આ લેખકનો દાવો હતો કે તમે કોઈના પર્સનલ સ્પેસમાં દાખલ થાવ એટલે બધી ગરબડો ઊભી થતી હોય છે. એમના કહેવા પ્રમાણે પર્સનલ સ્પેસ એટલે એક અદ્રશ્ય ફુગ્ગો જે લોકો પોતાની સાથે લઈને ફરતા હોય છે. આ અદ્રશ્ય ફુગ્ગાની ત્રિજ્યા નાની મોટી હોઈ શકે, એનો આધાર પોતના વિચારો, માન્યતાઓ, જે સંસ્કૃતિમાં રહેતા હોય તેના સંસ્કાર, અને સમાજ જેમાં તે લોકો રહેતા હોય તેના ઉપર આધાર રાખે  છે. Human personal space એટલે પ્રાણીઓની ટેરીટરી સમજી લો. પોતાના એરિયાને સાચવવા માટેનું  આક્રમક વલણ ક્યારેક ગંભીર પરિણામો લાવી શકે.
      પ્રાણીઓની ટેરીટરી અને માનવ પર્સનલ સ્પેસ સાવ એક સરખાં હોતા નથી. પ્રાણીઓને એમના વિસ્તાર બહાર લઈ જાઓ તો લગભગ સર્વાઈવ થતા નથી. અને પોતાના એરિયાનું રક્ષણ કરવા જીવ પણ આપી દેતા હોય છે. માનવોમાં એવું આક્રમક સખત વલણ એરિયા બાબત હોતું નથી. અને માનવો એમના એરિયાનું રક્ષણ પ્રાણીઓ એમના એરિયાનું રક્ષણ કરતા હોય તે રીતે આક્રમકતાથી  કરતા પણ નથી હોતા. બહુ દૂરનાં માનવ સમૂહ માટે આક્રમક રક્ષણ પદ્ધતિ અપનાવતા હોય છે, બાકી નહિ. એટલે તો આવડા મોટા દેશમાં બધા સાથે રહેતા હોય છે. પણ પછી સરહદો ઉપર કોઈ ઘૂસ મારે તો લડાઈ કરવી પડતી હોય છે. માનવ એની આસપાસ રચેલા એના અદ્રશ્ય ફુગ્ગાનું રક્ષણ પણ પ્રાણીઓની જેમ કરતો નથી. છતાં કોઈ અજાણ્યો પાસે આવે એટલે અગ્રેશન શક્યતા વધી જવાની. પોતાની ટેરીટરીનાં રક્ષણ માટે બહુ લડતા ના હોય તેવા Baboon અને macaque વાનરોની બિહેવિયરનો અભ્યાસ સમજવા માટે ખૂબ કામ લાગેલો છે.
     બે Rhesus macaques એક પિંજરમાં ભેગાં કરવામાં આવતા તે લોકો શક્ય તેટલો ના ઝગડવાનો પ્રયાસ કરશે. લડવાનું એવોઈડ કરશે. જુદી રીતે વર્તન કરશે. હુમલા માટે ઉત્તેજિત થવાય તેવી તમામ વર્તણૂક દબાવશે. એક બીજાથી દૂર બેસશે. એક આ ખૂણામાં બીજું પેલાં ખૂણામાં જેનાથી સામાન્ય સ્પર્શ પણ ટાળી શકાય, કારણ સામાન્ય સ્પર્શ પણ લડાઈમાં પરિણમે તેવી શકયતા વધુ હોય. આંખોથી આંખો મિલાવવાનું એવોઈડ કરશે, કારણ વાનરોની ભાષામાં એકબીજા સામે આંખો મિલાવીને જોવું એટલે ધમકી ગણાય. આ વાનરો  ઉપર જોશે હવામાં, નીચે જમીન પર જોશે અને પીંજરા બહાર કોઈ કાલ્પનિક પોઇન્ટ તરફ જોશે. જેમ જેમ સમય પસાર થતો જશે તેમ ટૅન્શન વધતું જશે, વહેલા કે મોડા એકાદ વાનર એનું ટેમ્પરેચર ગુમાવી બેસે તે ઘડી નજીક આવશે. એટલે ત્વરિત હુમલો નિવારવા અને સ્ટ્રેસ ઓછો કરવા અને બીજા વાનરને જણાવવા કે હુમલો અનિવાર્ય નથી, અને ઇચ્છા પણ હુમલો કરવાની નથી વાનર એવું વર્તન શરુ કરશે, મૌનનો બરફ ભાગવો પડશે. એક બીજા સામે દાંતિયા શરુ કરશે. દાંત બતાવવાને તમે હ્યુમન સ્માઈલ સાથે સરખાવી શકો છો. કોમ્યુનીકેશન જરૂરી છે.  સમય વધુ વીતતા નજીક આવીને એક મંકી બીજાના વાળ ફેન્દવાનું શરુ કરશે, એમાંથી જે નાના જીવજંતુ મળે તે ખાવાનું શરુ. આમ બંને જણાં રીલેક્સ થઈ જવાના. જો તમે macaque હોવ અને બીજા macaque સાથે કોઈ પાંજરામાં ટ્રેપ થઈ જાવ તો શું કરવાનું? bare your teeth and start grooming. અને જો તમે માનવ હોવ અને  એલિવેટરમાં  કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે જતા હોવ તો I recommend you do the same: smile and make polite conversation.
   હ્યુમન નેચરની સુંદરતા એ છે કે એની સામાન્ય વર્તણૂક વિષે વૈજ્ઞાનિક રીતે અનુમાન લગાવી શકાય છે. છતાં એવી કેટલીય બાબતો હોય છે કે એમાં વિવિધતા આવતી જણાય છે. હવે એલિવેટરમાં એક સ્ત્રી સાથે એક પુરુષ ભેગાં થઈ જાય તો બિહેવિયર બદલાઈ જતી હોય છે. વીસ પચ્ચીસ માળ સાથે ઊતરવાનાં હોય તો છેલ્લા પેલો પુરુષ પેલી સ્ત્રીનો ફોન નંબર લઈને પણ બહાર નીકળી શકે છે. People’s responses to potential mating opportunities are just as predictable as their responses to potentially dangerous situations.
 

નેતૃત્વ, સડેલી સત્તા, સેક્સ અને ત્રાસવાદ.

Deutsch: Sigmund Freud, Begründer der Psychoan...
Image via Wikipedia

નેતૃત્વ, સડેલી સત્તા, સેક્સ અને ત્રાસવાદ.

 કિંગ જ્યોર્જ ત્રીજાએ એના અમેરિકન ચિત્રકાર બેન્જામીન વેસ્ટને પૂછ્યું કે આ જ્યોર્જ વોશિંગટન  અમેરિકાની સ્વતંત્રતાની લડાઈ માનો કે જીતી જાય પછી શું કરશે? વેસ્ટે જવાબ આપ્યો કે “He will return to his farm.” બ્રિટનનો શહેનશાહ આશ્ચર્ય સાથે પોકારી ઊઠ્યો કે જો તે આવું કરશે તો દુનિયાનો સૌથી મહાન પુરુષ હશે. ડિસેમ્બર ૨૩, ૧૭૮૩ જ્યોર્જ વોશીન્ગ્ટન માઉન્ટ વેરનોન તરફ રવાના થઈ ગયા. એમની લડાઈમાં સાથ આપનારા ઘણા બધાએ એમને સત્તા ઉપર રહેવા જણાવ્યું, અને અમેરિકાના રાજા બનાવવા પણ તૈયાર થઈ ગયા હતા. સ્વતંત્રતા મળી ચૂકી હતી, હેતુ પૂર્ણ થઈ ચૂકયો હતો. ૧૩ વર્ષ પછી ફરી એમણે આ વાત દોહરાવી હતી. ૧૭૮૭મા એમને ફીલાડેલ્ફીયામાં ભરાનારા કોનસ્ટીટ્યુશનલ કન્વેન્શનમાં હાજરી આપવા મનાવી લેવાયા. નવું બંધારણ ઘડવાનું હતું. ૧૭૮૯મા તેઓ અમેરિકાના પહેલા પ્રમુખ તરીકે ચૂંટાયા. ૧૭૯૨મા ફરી પ્રમુખ બન્યા. ત્રીજી વાર એમણે પ્રમુખ બનવાનું નકાર્યું અને એમના ખેતરો તરફ પાછાં વળી ગયા. અબ્રાહમ લિંકન કહેતા કે તમારે કોઈ માણસના ચારિત્ર્યની પરીક્ષા કરવી હોય તો એને સત્તા આપી જુઓ, પાવર આપી જુવો. બે વાર જ્યોર્જ વોશિંગટન સત્તા અને વર્ચસ્વ છોડીને મહાન પુરુષોની હરોળમાં આજે પણ અડીખમ ઉભા છે.
    મહાત્મા ગાંધીજીએ પણ આજ કર્યું હતું. ફરક એટલો છે કે વોશિંગટને જરૂર પડે સત્તા સંભાળી, દેશને સ્થિર કર્યો અને પાછાં વળી ગયા. સફળ નેતૃત્વના આ બે અજોડ દાખલા છે. નેતૃત્વ અને સત્તાનો ફરક અહીં દેખાય છે?
         ૧૭૯૯મા વોશિંગટન મૃત્યુ પામ્યા, જે વર્ષે નેપોલિયન બોર્નાપાર્ટ ફ્રાન્સના શહેનશાહ બન્યા. સત્તા મેળવવાનું પાગલપન એમને આખા યુરોપ ઉપર ચડાઈ કરવા પ્રેરી ગયું. તે કહેતા કે “Power is my mistress .” કોઈ એને મારી પાસેથી છીનવી નહિ શકે. પછીનો ઇતિહાસ આપણે જાણીએ છીએ. સત્તાનો દુરુપયોગ ખાલી રાજકારણીઓ કે વિજેતાઓ કરતા હોય છે તેવું પણ નથી, સત્તાનો દુરુપયોગ મેનેજર્સ, પતિપત્ની, માતાપિતા સાથે લિસ્ટ ઘણું લાંબું બનશે. નેતૃત્વ ટકાવી રાખવાની લાલચ આ દુરુપયોગ કરાવતી હોય છે. સત્તા મેળવવાની લાલચ ભ્રષ્ટ બનાવતી હોય છે. ક્યારેક લઘુતાગ્રંથિનું પરિણામ પણ હોય છે. આને નેપોલિયન કૉમ્પ્લેક્સ પણ કહેતા હોય છે, જે કોઈને કોઈના ઉપર કંટ્રોલ કરવા માટે દોરતો હોય છે, આજે એને Control Freak કહેતા હોય છે. થોમસ જેફરસન કહેતા કે સાચા નેતાને એના સાથી નાગરિકો ઉપર સત્તાની કસરત કરવામાં આનંદ આવતો નથી. સાચા નેતાનું એક લક્ષ્ય હોય છે. પોતાના વિષે ઉંચો ખ્યાલ અને આત્મવિશ્વાસ ધરાવતો સાચો નેતા પોતાના સ્વાર્થ માટે બીજાને હાની પહોચાડતો નથી. સાચા નેતાનું લક્ષ્ય એના સમૂહનું લક્ષ્ય હોય છે, ભલે પછી સમૂહ કંપની હોય, જ્ઞાતિનું મંડળ કે પછી  દેશ હોય. જો તમને નેતા બનવાની ઇચ્છા જાગી હોય તો પહેલા ચકાસી લો કે તમારે કોઈ ધ્યેય હાંસિલ કરવું છે જે તમારા સમૂહનું હોય કે ખાલી પાવર અને પોજીશન જોઈએ છે?
    સત્તા, પાવર અને પોજીશન સાથે સેક્સનું કનેક્શન આપણે જાણીએ છીએ કે સહજ છે. ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન આનો જવાબ આપી ચૂક્યું છે. સમાજના આધાર સ્તંભ ગણાતા લોકો સેક્સ સ્કેન્ડલમાં કેમ સપડાતા હશે? સત્તા, સેક્સ અને પૈસા આ ત્રણનું ગઠબંધન અજબ છે. અમેરિકાના રાજકારણમાં જુઓ. Congressmen Weiner, Gingrich, અને  Foley, Senators Edwards, Vitter, Ensign, અને  Craig, Governors Sanford, Spitzer, Blagojevich, અને  Schwarzenegger આતો થોડા નમૂના છે.  Wall Street તપાસો Bernie Madoff અને  Ken Lay, Arthur Anderson, Dominque Strauss-Kahn , Hollywood તપાસો  Mel Gibson, Charlie Sheen, OJ Simpson, Jesse James. ખેલ જગતમાં ટાઈગર વુડ અને ભારતના દાખલા આપણે જાણીએ છીએ.
    જે લોકો પબ્લિક ફિગર હોય છે તેને અહં પ્રેમી બનવું  કે આત્મશ્લાઘામાં રાચવું પોસાય નહિ. છતાં આવી પ્રસિદ્ધ વ્યક્તિઓ Narcissistic mindset ડેવલપ કરી લેતા હોય છે. એક તો પબ્લિક ફિગર બનવું એટલે કોઈનું ધ્યાન એમની તરફ સતત ખેંચાય તેવી ઇચ્છા હોય. એકવાર પબ્લિક ફિગર બની ગયા પછી લોકોથી બચવા નોકરચાકર અને રક્ષકો વડે ઘેરાયેલા રહેવું. આમ narcissistic bubble માં ઘૂસી ગયા. બીજું રોજંદા લાઇફના તણાવમાંથી મુક્ત, તે કામ બીજા નોકર વર્ગ કરી લે. ત્રીજું મીડીયાનું સતત એમની તરફ ધ્યાન. મીડિયા આખો દિવસ એમની પાછળ લાગેલું હોય. એટલે એવું લાગે કે હું ખૂબ મહત્વનો છું. ચોથું ખુશામત કરનારાઓનો પાર રહે નહિ. પાંચમું સફળ સેલીબ્રીટી, ખેલાડીઓ, અને રાજકારણીઓ ખૂબ ધન રળતા હોય છે. અને પૈસા વડે કશું પણ અને ક્યારે પણ ખરીદી શકાય છે. આમ સત્તા બને ભ્રષ્ટ અને પછી સેક્સ સ્કેન્ડલ શરુ.
  ઓસ્કાર વિનર ફિલ્મ ડાયરેક્ટર Roman Polanski  આજે ૭૬ વર્ષનો છે, ત્રીસ વર્ષ પહેલા ૧૩ વર્ષની મોડેલ પર રેપ કરેલો તે  બદલ પકડાયો હતો. ૬૮ વર્ષનો લેજન્ડરી રોક મ્યુઝિક પ્રોડ્યૂસર Phil Spector, Lana Clarkson નામની અભિનેત્રીનું ખૂન કરવાનાં ગુનામાં સપડાયો હતો.
    સત્તા જ્યારે ભ્રષ્ટ બને ભલે પછી ઘરમાં હોય, બહાર હોય કે ગામ કે દેશમાં હોય સરમુખત્યારશાહી આવે ત્રાસવાદ ઊભો થવાનો અને ઘરેલું હિંસા પણ ઊભી થવાની. ગ્લોબલ ટેરરીઝમ એટલે ડોમેસ્ટિક વાયોલન્સનો મોટો પ્રકાર. ત્રાસવાદીઓ લોકોને એવી રીતે જ ત્રાસ આપતા હોય છે જેમ કે ઘરમાં કોઈ હિંસક પતિ એની પત્ની કે બાળકો પર જુલમ કરતો હોય. રાજકીય જેહાદીઓની ત્રાસ આપવાની મેન્ટાલીટી નિર્દોષ લોકોના ખૂન કરાવતી જોવા મળે છે. ડિક્ટેટર વળી એના દેશના નાગરિકો ઉપર ત્રાસ વર્તાવતો હોય છે. મૂળ એમનો હેતુ બીજા લોકો પર કંટ્રોલ કરવાનો હોય છે. એમના રસ્તા સાચા અને એમનું નિશાના પર હોય તેનો રસ્તો ખોટો છે તેવું માનતા હોય છે. ધીમે ધીમે ફીજીકલી હિંસા ઉપર ઊતરી આવવું. અને પછી હત્યા ઉપર આવી જવું.  આવી માનસિકતા બચપણથી શરુ થઈ જતી હોય છે. એક તો ઘરમાં હિંસાનું વાતાવરણ હોય. માતાપિતા દ્વારા બાળકો ઉપર ત્રાસ થતો હોય. બાળકો જે પીડા ભોગવી હોય તે પીડા બીજાને આપવાનું શીખતા હોય છે. ત્રાસ વેઠનાર ભવિષ્યમાં ત્રાસ આપનાર બની જતો હોય છે. ઘરમાં રોજ જે દેખાતું હોય તે નૉર્મલ છે તેવું જણાતું હોય છે. પતિ રોજ પત્નીને ઝૂડતો હોય તો રોજ જોનારા બાળકોને આ ઘટના સહજ લગાવી સંભવ છે.
   પાકિસ્તાન, પેલેસ્ટાઇન, અફઘાનિસ્તાન વગેરે દેશોમાં ઘરેલું હિંસા સામે કોઈ સખત કાયદા છે નહિ. ધાર્મિક સ્કૂલમાં જિહાદના નામે હિંસા શીખવતી હોય છે. ઘરમાં પ્રેમ, સહકાર, વિશ્વાસ અને અહિંસાનું વાતાવરણ હોય તો બાળકો પણ એજ શીખશે. સેક્સ અને પાવર હિસ્ટેરીયા અને ટેરરીઝમનાં મૂળ છે.
   વિક્ટોરિયન યુગમાં બ્રિટનમાં ખૂબ મર્યાદા પાલવમાં આવતી. સ્ત્રીઓને ખાલી વસ્તુ કે રમકડું સમજવામાં આવતી. સ્ત્રીઓ પાસે ખાસ લીગલ પ્રૉપર્ટી રાઈટ્સ હતા નહિ. સ્ત્રીઓને માનવ નહિ પણ સુંદર ડ્રેસમાં સજ્જ ઢીંગલી વધુ ગણવામાં આવતી. સ્ત્રીઓને થોડું આપો, ક્યારેક જ આપો અને પરાણે આપો. બસ અહીં હિસ્ટેરીયા શરુ થયો. Sigmund Freud આના ઇલાજ માટે એક નવી ટેક્નિક શોધી કાઢેલી “talking cure” .બચપણમાં વેઠેલી પીડાઓ વાતો કરીને બહાર કાઢવી. જે સ્ત્રીઓએ બચપણમાં જાતીય સતામણી ભોગવી હોય તેને એક તો પાવરલેસનેસ વર્તાય અને બીજું પોતે સાવ નિર્બળ છે નાજુક છે તેવું અનુભવતી હોય છે. એનાથી સેક્સ પ્રત્યે પ્રતિકૂળ વલણ પેદા થાય અથવા સેક્સ પ્રત્યે વધારે પડતું ધ્યાન પેદા થાય. હવે છોકરાઓમાં જો બચપણમાં જાતીય સતામણી ભોગવી હોય તો આખી જીંદગી ક્રોધ મનમાં રહે, અને સત્તાધારી સામે એક બદલો લેવાની ભાવના પેદા થાય. અને એવું નક્કી કરવા માંગતા હોય જાણે કે તેઓ પણ ડોમિનન્ટ બની શકે છે. ઇસ્લામિક દેશોમાં સ્ત્રીઓનું સ્ટેટ્સ નીચું છે. બચપણમાં જાતીય સતામણીનો ભોગ છોકરા છોકરી બંને બનતા હોય છે અને જાતીય આનંદને દબાવી રાખવાનું વલણ આ બધું ભેગું થઈને ત્રાસવાદનાં વૃક્ષ માટે ફળદ્રુપ જમીન છે. સ્ત્રીઓને મારવાનું સહજ છે, કોઈ સવાલ ના જોઈએ. વેસ્ટર્ન વર્લ્ડમાં ક્રાઇમ અને પીડોફીલીયા કહેવાય છે ત્યાં પૂર્વ અને મધ્ય પૂર્વના દેશોમાં કોઈ ગણકારતું પણ નથી.
 Dr. Tawfik Hamid નામના એક ડોકટરે બે પુસ્તકો લખ્યા છે  The Roots of Jihad and Inside Jihad  તેઓ ઈજીપ્તમાં મેડિકલ સ્કૂલમાં ભણતા હતા ત્યારે ટેરરીસ્ટ ઑર્ગનિઝેશન સાથે જોડાયેલા હતા. આજે તેઓ ઇસ્લામિક સ્કોલર તરીકે વોશિંગટનમાં ટેરરીઝમ પોલિસી કન્સલટન્ટ  છે. ટેરરીસ્ટ મુવમેન્ટ માટે કઈ રીતે યુવાનોને કન્વીન્સ કરવામાં આવે છે તે તેઓએ જાતે અનુભવેલું છે. ઍક્સ્ટ્રીમ સેકસુઅલ ફ્રસ્ટ્રેશન ભોગવતા યુવાનો જલદી શિકાર બની જતા હોય છે. એક તો લગ્ન વગર સેક્સ ભોગવવા નાં મળે અને આર્થિક અસમર્થ ૪૦ વર્ષ સુધી લગ્ન થયા ના હોય. મૃત્યુ પછી ૭૨ સુંદર કુંવારી છોકરીઓ એમની રાહ જોતી હોય.
    Dr. Tawfik Hamid શું લખે છે,  “The over-stimulated sexual desires of young Muslims … the hopelessness in soon having a marital relationship, and dreams of beautiful women waiting in paradise engender frustration, anxiety and anger. These factors encourage young Muslims to join radical Islamic groups where they then become steeped in terrorist Islamic beliefs such as committing suicidal attacks on infidels to go immediately to paradise as martyrs so they can enjoy the beautiful ladies there, especially the 72 virgins.” (pages 54-56, The Roots of Jihad)
    આમ કરપ્ટ સત્તા, પાવર અને પૈસો સેક્સ તરફ ઢસડી જાય છે અને વિકૃત સેક્સ ત્રાસવાદ તરફ ઢસડી જાય છે.  બ્રેઈન પાછલાં અનુભવોનું ભવિષ્યની યોજનામાં નિરૂપણ કરતું હોય છે. એક ઉંદરને ખોટા રસ્તે પનીરનો ટુકડો લેવા જતા કરન્ટ આપીએ તો તે શીખી જાય છે કે હવે તે રસ્તે જવું નહિ. નેતાઓ પણ આવી રીતે શીખી શકે છે કે જો કાયદો તોડીશું તો મુશ્કેલીમાં મુકાઈ જાશું.
“Absolute power corrupts absolutely.”

Beta mammal વ્યથા, મનોવ્યથા.(Hard Truths About Human Nature).

Beta mammal વ્યથા, મનોવ્યથા.(Hard Truths About Human Nature).
       એક માર્ગદર્શક આપણને સીડી ચડવા માટે મદદ કરે ત્યાં સુધી તો સારું છે, પણ તે ફક્ત સમર્થક કે અનુયાયી જ ઇચ્છતો હોય અને તમારું કોઈ વજૂદ રહેવા દેવું ના હોય તો?
    દરેક વાનર અને એપ્સ સમૂહનો એક ઍલ્ફા નેતા હોય છે અને તેના સમર્થક તરીકે એક અથવા બે beta નર હોય છે. આમ beta ટ્રૂપનો બીજા નંબરનો ઍલ્ફા પણ કહી શકાય. મૅમલ સમૂહમાં જીવવા ઉત્ક્રાંતિ પામેલા છે, અને સમૂહનો એક નેતા હોય. ઍલ્ફાને પણ આખા સમૂહને કંટ્રોલ કરવા એક બે બીજા નરની જરૂર પડતી હોય છે. પ્રાણીઓમાં ઍલ્ફા બનવું શક્તિ પ્રદર્શન અને આક્રમક વલણ દાખવ્યા વગર શક્ય નથી હોતું. પણ માનવ પાસે સરસ વિચારવંત બ્રેન હોય છે જેથી તે ઍલ્ફા બનવા ખાલી શક્તિ પ્રદર્શનને બદલે જુદી જુદી રીતે પણ અપનાવે છે. વાનર અને ચિમ્પૅન્ઝી સમૂહના beta નર હાઈએસ્ટ સ્ટ્રેસ લેવલ વેઠતાં હોય છે તેવું વૈજ્ઞાનિકોનું  સંશોધન કહે છે. આ બીજા નંબરનો નેતા સૌથી વધુ તણાવ અનુભવતો ટોચનો એકલવાયો હોય છે અને સમૂહના બીજા સભ્યો ઉપર કઠોર વર્તન દાખવતો હોય છે. કેમ?
   Beta વાનર કે ચિમ્પૅન્ઝી માટે સૌથી વધુ મેળવવાનું હોય છે અને સૌથી વધુ ગુમાવવાનું પણ હોય છે. ઍલ્ફાનું પદ હાથવેંતમાં હોય છે. અને તે ના મળતા સૌથી વધુ તણાવયુક્ત પણ હોય છે. આપણે બહુ ઊંચા પદ માટે ઠેકડા ના મારીએ તો બહુ ગુમાવવાનું પણ બહુ હોતું નથી.  beta વાનર ઍલ્ફાની નજદીક રહેવા ખૂબ મહેનત કરતા હોય છે, અને ઘણીવાર કોઈ મોટો રિવૉર્ડ મેળવ્યા વગર બધું જ ગુમાવી પણ બેસતા હોય છે. ઍલ્ફા તમારો ઉપયોગ કરવા માંગતો હોય છે, એના સમર્થક ના રહો તો તે તમારું સર્વસ્વ છીનવી લેતો હોય છે. જેના માટે અને જેના વિકાસ માટે તથા તેના ટોચ પર બની રહે તે માટે સખત મહેનત કરી હોય તે તમારું સામાજિક જીવન બરબાદ કરી શકે છે. ઍલ્ફાને હંમેશા ડર લાગતો હોય છે કે નંબર ટુ એનું સ્થાન પડાવી લેશે.
    માનવ પહેલા નાનો સમૂહ બનાવીને રહેતો હશે. એનો એક નેતા રહેતો હશે. પછી કોઈ બળવાન સમૂહ નેતા બીજા સમૂહ પર આક્રમણ કરીને બીજા સમૂહ કાબૂ કરી લેતો હશે. આમ મોનાર્કી અસ્તિત્વમાં આવી. આમ રાજાશાહીમાં રાજા ઍલ્ફા નેતા બન્યો, અને એને મદદકર્તા મંત્રી કે સેનાપતિ કે નાનોભાઈ કે બીજા સમર્થક બીજા નંબરના નેતા બન્યા. રાજાને સતત ચિંતા રહેતી હશે કે બે નંબર એનું સ્થાન પડાવી ના લે. દરેક ઍલ્ફા માટે એના જિન્સ સર્વાઇવ થાય તે મહત્વનું હોય છે. એના સંતાનને કોઈ તકલીફ વગર ઍલ્ફાનું સ્થાન મળી જાય તો કેવું સારું?
    આમ રાજાશાહી પવિત્ર, રાજવંશ પવિત્ર, રાજા ભગવાન એવું ઠસાવી દેવાયું. આમ પેઢી દર પેઢી વારસો રાજા બને જાય. પ્રૉબ્લેમ એ થાય કે રાજાને એક સંતાન તો હોય નહિ અને રાજા તો એક જ બને. પહેલા અને સૌથી મોટા સંતાનને રાજા બનાવવાનું રિવાજથી નક્કી કરાયું. આમ ઘણીવાર બીજા સંતાનો ક્યારેક મંત્રી, ક્યારેક સેનાપતિ બનતા. અથવા નાની નાની જાગીરી  વારસામાં મળી હોય તેને બાહુબળે વધારી વળી અલગથી રાજા બની શકાય. અથવા તો બીજા વારસદારોને મારી ને રાજા બની જવાય, અને કોઈ વાર ખુદ રાજા જે પિતા પણ હોય છે તેની પણ હત્યા કરવામાં આવતી. આપણે મુઘલ બાદશાહોનો ઇતિહાસ જાણીએ છીએ. રાજાને વળી  અનેક રાણીઓ હોય. આમ રાણીઓ પણ પોતપોતાના સંતાન રાજા બને તેવી યોજનાઓ આગોતરી કરવા લાગતી. સૌથી મોટા બાળ કુંવર માટે જીવનું હંમેશા જાનનું ખૂબ મોટું જોખમ રહેતું.
    ઇતિહાસ ગવાહ છે કે કેટલાય સેનાપતિ ખુદ રાજા બની ગયા હતા. મંત્રી પણ રાજા બની જતા. શાહજીનું સ્થાન બીજા નંબરનું રહેતું જે શિવાજીની પસંદગીનું નહોતું. શિવાજીની ઍલ્ફા બનવાની તીવ્ર ઈચ્છાએ પિતાની અસહમતીની પરવા કર્યા વગર સ્વબળે રાજા બનીને જ રહ્યા. અને એમના રાજવંશના બ્રાહ્મણ મંત્રીઓ પેશ્વા, છેવટે રાજા બની ગયા. beta હંમેશા નંબર વન ઉપર દ્ગષ્ટિ રાખતો હોય છે, ઍલ્ફા નબળો પડે તેની રાહ જોવાતી હોય છે. સતત ઍલ્ફાની નજીક રહેવામાં ભવિષ્યમાં લાભ હોય છે. જેથી ઍલ્ફા કોઈ કારણવસ  ખસી જાય તો ઍલ્ફા બનવાનો મોકો beta પ્રાપ્ત કરી શકે. આમ ઍલ્ફાની સતત નજીક રહેવા માટે ત્રીજા ચોથા નંબર ઉપર ક્રૂરતા રાખવી પડતી હોય છે, એમને સતત દબાવવા પડતા હોય છે. આમ નંબર બે એની નીચેની વ્યક્તિઓ તરફ રુક્ષ હોય છે, એમની સતત અવહેલના કરતો હોય છે. નંબર બે એના પછીની હરોળમાંથી કોઈ પ્રતિભાશાળી હોય તો એને વહેલો નાશ કરી દેવા જાતજાતના નુસખા અપનાવે છે. આ સ્ટ્રેટેજી કાયમ રહેતી હોય છે.
  ભારતીય રાજકારણ જુઓ. ભારતની આઝાદીની લડતનાં સર્વોચ્ચ ઍલ્ફાનું પદ ગાંધીજી નિભાવતા હતા. એમના ખાસ બે સહાયક જવાહર અને સરદાર હતા. ગાંધીજી વૃદ્ધ બની ચૂક્યા હતા અને એમને રાજ કરવામાં કોઈ ખાસ રસ નહોતો, એમનું ધ્યેય ફક્ત ભારતની આઝાદી હતું. જિન્નાહ ગાંધીજી પહેલા કોંગ્રેસમાં સ્થાન જમાવી ચૂક્યા હતા. જિન્નાહ પાક મુસલમાન નહોતા, સિગરેટ પીતા, શરાબ પીતા મુલ્લાઓના વિરોધી હતા. અમુક સમયે ગાંધીજી કરતા વધુ સેક્યુલર લાગતા, ખાસ તો ખિલાફતની ચળવળ વખતે. પણ ગાંધીજીના પ્રભાવ અને સંત જેવા આચારવિચારને કારણે પ્રજામાં માન વધતા  એમનું મહત્વ ઘટ્યું. મૅમલ બ્રેન બળવો પોકારી ઊઠ્યું. સામે પક્ષે જવાહર પણ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન, સર્વોચ્ચ ઍલ્ફા બનવાનું ટાળી શકે તેમ નહોતા. આમ એમના આદિમ મૅમલ બ્રેને અલગ પાકિસ્તાનની માગણી કરી. ગાંધીજીને જિન્નાહ વડાપ્રધાન બને તેમાં કોઈ વાંધો નહોતો. પણ જવાહરનું આદિમ મૅમલ બ્રેન માનવા તૈયાર નહોતું.
  બે મૅમલ બ્રેનની માનસિક લડાઈ અને એક મહાન ભારતના બે ભાગલા અને લટકામાં દસ લાખ માણસોની હત્યા. હવે જવાહરની આડે આવે એવો એક માણસ બચ્યો સરદાર વલ્લભભાઈ પટેલ. જવાહર નાના બાળકની જેમ રિસાઈ ગયા. સરદાર ખસીને નંબર બે નું સ્થાન મેળવીને સંતોષ પામ્યા. સરદારની સતત અવહેલના થતી રહી. રજવાડા ભેગાં કરવાનું એમના સિવાય કોઈ કરી શકે તેમ નહોતું. બંને વચ્ચે ખાસ સંબંધ રહ્યો નહોતો. સરદારને પણ નંબર વન બનવાની કોઈ મહેચ્છા હતી નહિ, વૃદ્ધ અને બીમાર હતા. એમની સલાહ અવગણીને કાશ્મીરનો પ્રશ્ન યુનોમાં ખેંચી ગયા એના પરિણામ આજે પણ ભારત ભોગવી રહ્યું છે.
   શાસ્ત્રીજી અવસાન પામ્યા ત્યારે કામરાજ એન્ડ કંપની કિંગ મેકર હતી. મોરારજી કોઈને ગાંઠે તેમ નહોતા. કામરાજ એન્ડ કંપનીએ નરમ દેખાતી છોકરી ઈન્દિરાજીને વડાપ્રધાન બનાવી મૂક્યા. પણ બાઈ ભારે સ્ટ્રોંગ ડોમિનન્ટ મૅમલ બ્રેન ધરાવતી હતી તે આ ખંધા વૃદ્ધોને ખબર નહોતી. સત્તા મળ્યા પછી ઈન્દિરાજીએ બધાને હડસેલી મૂક્યા. જેમ તેમ કરીને જનતા પાર્ટીએ સત્તા હાંસલ કરી અને મોરારજી વડપ્રધાન બન્યા, પણ બીજી  હરોળના તમામ નેતાઓને    નંબર વન બનવું હતું. સત્તા મળી ગઈ હતી હવે કોંગ્રેસનો ડર નહોતો એટલે મોરારજીના પગ ખેંચાયા. પહેલા સત્તા ઉપર હોય તેની સામે એક સંપ થઈને લડો અને સત્તા મળી જતા અંદર અંદર લડો. જિન્નાહ ખૂબ સારા વકીલ હતા, બૅરિસ્ટર હતા. જવાહર પોતે પણ કેટલા બુદ્ધિશાળી હતા, ડીસ્કવરી ઑફ ઇન્ડિયા નામનું એક ઐતિહાસિક પુસ્તક પણ લખેલું. પણ મૅમલ બ્રેઈન આગળ કોઈ ફિલૉસફી ચાલતી નથી.
   ભાજપા જુઓ, બાજપાઈની પ્રચંડ પ્રતિભા આગળ અડવાણી ફક્ત બે નંબર બનીને રહી ગયા હતા. આટલાં વર્ષે સાવ વૃદ્ધ બની ચૂક્યા છે પણ વડાપ્રધાનના દાવેદાર છે. નંબર બે ઉપર ટકી રહેવા માટે નીચલી હરોળના નેતાઓને કદ પ્રમાણે કાયમ વેતરતા રહ્યા છે. ક્યારેક તો ચાન્સ મળશે. ઘણીવાર કોઈ તકલીફકર્તા ના પણ હોય છતાં મૅમલ બ્રેન સ્થાન ટકાવી રાખવા સતત પ્રયત્નો કર્યા કરતું હોય છે. ભાજપના જેટલા પ્રભાવશાળી નેતાઓ હતા તે એક પછી એક અડવાણી દ્વારા વેતરાતા રહ્યા. એમાં સ્થાનિક નેતાઓનું  મૅમલ બ્રેન પણ સહયોગ કરતું હોય છે. આખા ભારતમાંથી ભાજપની  સંસદમાં ફક્ત અને ફક્ત બે સીટો જ આવેલી, એમાંની એક મહેસાણાની ડૉ. એ.કે.પટેલ જીતી લાવેલા.
આવા ભાજપના કપરાં સંજોગોમાં કેશુભાઈ અને શંકરસિંહ ભાજપના ઉત્થાન માટે તન તોડીને મહેનત કરતાં હતા. રોજ સવારની ચા સાથે બેસીને પીતા. ગુજરાતનું એક ગામ આ લોકોએ ફરવામાં જોવામાં બાકી નહિ રાખ્યું હોય. બંને જણાની મહેનતે ગુજરાતમાં ભાજપા જીતી ગયું, ૪૦ વર્ષ ભાજપ માટે કામ કરનારા શંકરસિંહે સ્વેચ્છાએ નંબર બે બનવાનું સ્વીકાર્યું. સત્તા મળ્યા પછી એમની અવહેલના શરુ થઈ. છેવટે એટલાં બધા ઇગ્નોર કરવામાં આવ્યા કે એમણે બળવો પોકાર્યો. આપણે દગો કહીએ છીએ પણ દગો બંને અરસપરસ કરતા હોય છે. છેવટની વાત બધા જાણે છે.
શંકરસિંહને દગાખોર કહેનારા કેશુભાઈ અને નલીન ભટ્ટ આજે ખૂદ દગો અનુભવી રહ્યા છે.  ઇતિહાસ સર્જનારા ડૉ. એ. કે. પટેલ આજે ક્યા છે?  યુપીમાં કલ્યાણસિંહને હટાવવામાં આવ્યા. દિલ્હીમાં મદનલાલ ખુરાના ગયા. ઉમાભારતી પણ ગયા અને પાછા આવ્યા. જશવંતસિંહ જેવા કાબેલ નેતાને પણ જવું પડેલું. કેશુભાઈ પણ ગયા. મોદી એકલાં હાથે ચૂંટણી લડ્યા, બાકી અડવાણીના પ્રીતિપાત્ર હવે રહ્યા નથી. વર્ષો સુધી ભાજપ માટે રાજસ્થાનને સાચવનારા ભૈરોસિંહ શેખાવતને પણ સહન કરવું પડ્યું. ભાજપની થીંક ટેંક ગણાતા ગોવિન્દાચાર્ય પણ ગયા. આવા તો કેટલા ગયા હશે? શું બધા ખરાબ હતા? બધા શિસ્ત વગરના હતા? બધા પક્ષની વિરુદ્ધ હતા? કડવાણીનું Beta મૅમલ બ્રેન ભાજપમાં કોઈ સારો નેતા રહેવા દેતું નથી. પ્રજા પાસે કોઈ સારો વિકલ્પ તો હોવો જોઈએ ને? સાવ સડેલા સફરજનના ટોપલામાંથી ઓછામાં ઓછું સડેલું સફરજન એણે શોધવાનું છે.
   કોંગ્રેસમાં આજે ભલે વડાપ્રધાન મનમોહન સિંહ હોય પણ ઍલ્ફાનું સ્થાન સોનિયા ગાંધી સંભાળે છે. અહી તો વળી જૂની રાજાશાહી જેવું છે, વારસદાર નાનો હોય ત્યાં સુધી મજબૂરી છે. રાહુલ ગાંધી વારસદાર તરીકે બેસી જવાના. હું કોઈની તરફેણ કરતો નથી ફક્ત મૅમલ બ્રેન વિષે ચર્ચા કરું છું. ધર્મો અને સંપ્રદાયોમાં પણ આજ પૅટર્ન કામ કરતી હોય છે. ઍલ્ફા ગુરુ બનવાની લ્હાયમાં રોજ નવા સંપ્રદાયો, પેટા સંપ્રદાયો રોજ ફૂટી નીકળે છે. એક જ વૈષ્ણવ સંપ્રદાયના કેટલા બધા ફાંટાં છે? એક જ સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલા બધા ફાંટાં પડી ચૂક્યા છે. હરિપ્રસાદ અને પ્રમુખસ્વામી એક જ ગુરુના ચેલા, પણ બે નંબરે રહીને જીવવાનું ફાવ્યું નહિ અને હરિપ્રસાદે પોતાનો અલગ પંથ બનાવી નાખ્યો.
રાજાશાહી હોય કે લોકશાહી હોય, સરમુખત્યારશાહી હોય કે મીલીટરી શાસન ઍલ્ફા નેતાના સહાયક, સમર્થક એવા beta નેતાને કાયમ સખત તણાવમાં જીવવું પડતું હોય છે, ક્યારે ઍલ્ફા રિટાયર થાય તેની રાહ જોવી પડતી હોય છે, નીચેના નેતાઓ એની સમકક્ષ બની ના જાય તેમ વ્યવસ્થા કરવી પડતી હોય છે. અને આટલી બધી મહેનત પછી પણ ઘણીવાર કોઈ રિવૉર્ડ મેળવ્યા વગર ઍલ્ફા બન્યા વગર, સર્વોચ્ચ સ્થાને પહોચ્યા વગર દુનિયા છોડી દેવી પડતી હોય છે.
અડવાણીનું પણ એમજ થવાનુ છે. વડાપ્રધાન બન્યા વગર “હમ તો ચલે પરદેશ પરદેશી હો ગયે….”
 thCAE1MK8P

રાસાયણિક તત્વજ્ઞાન-૫ Good and Evil. ( Hard Truths About human Nature).

A section of DNA; the sequence of the plate-li...
Image via Wikipedia

રાસાયણિક તત્વજ્ઞાન-૫ ( Hard Truths About human Nature).

સાચું ખોટું, સારું નરસું, યોગ્ય અને અયોગ્ય. Good and Evil .

આપણું શરીર રસાયણોનું એક બહુ મોટું કોમ્બિનેશન છે. મૅમલ બ્રેન રસાયણની ભાષા જાણે છે. શબ્દો પછી આવ્યા. બ્રેનની ભાષા છે ન્યુરોકેમિકલ્સ. માટે આ લેખમાળાને મેં બ્લૉગમાં રાસાયણિક તત્વજ્ઞાન નામ અર્પ્યું છે. જ્યારે કોઈ માણસ આપણા સ્ટૅટ્સને મદદકર્તા થાય કે એને આગળ વધારવા કઈ પણ કરે તો આપણે એને સારું કહીશું. કે ભાઈ સારો માણસ છે. આપણાં મોભાને હેલ્પ મળે તો આપણું વલણ તે બનાવ કે માણસ સારો છે તેવું રહેવાનું. પણ કોઈ આપણા સ્ટૅટસને પડકારે કે જોખમરૂપ થાય તો આપણું વલણ બદલાઈ જશે કે આ તો  ખરાબ છે.

બ્રેન કોઈ તટસ્થ, સ્થૂળ, વસ્તુલક્ષી મશીન નથી. તે પોતાનું ભલું જોવા ઉત્ક્રાંતિ પામેલું છે. આ બાયસ દરેકમાં હોવાનો. આ પક્ષપાત આપણને પોતાનામાં  દેખાતો નથી. મૅમલ બ્રેનને પોતાના ભલામાં રસ હોય છે. ક્યારેક આ રસ અતિ સાંકડો સ્વકેન્દ્રી બની જતો હોય છે. આપણો મેમલિઅન bias રિઅલ હોય છે. એટલે વ્યક્તિગત રસ આપણને વધારે પક્ષપાતી બનાવે છે. આપણા મોભાને રંગ અર્પે તે આપણો ન્યાય હોય છે. એથિક્સ અને મૉરલ્સ ખાલી શબ્દો જ બની રહેતા હોય છે, જો મૅમલ બ્રેન એને ક્રિયામાં નાં ઢાળે તો. આમ સાચા અને ખોટા વચ્ચે ભેદ જરૂર હોય છે પણ કોઈ વ્યક્તિગત ન્યાય કરી શકે નહિ.

આપણાં સ્ટૅટસને આપણાં રસ, કે ફાયદાને પડકારનાર કોઈ પણ વસ્તુ ખરાબ કે ખોટી બની શકે છે, ભલે તે બીજાની દ્રષ્ટીએ સારી હોય. આપણે જોઈ શકતા નથી કે કઈ રીતે ન્યુરોકેમિકલ્સ આપણાં નૈતિકતાનાં ધોરણોને ભીંજવી દેતા હોય છે. દરેક બ્રેન દુનિયાને પોતાના રસ અને ફાયદાની દ્રષ્ટીએ જોતું હોય છે. એટલે આપણને બીજાનો પક્ષપાત દેખાય છે પોતાનો નહિ. એટલે એથિક્સ અને મૉરલ્સની ચર્ચાઓ બીજા ઉપર કેન્દ્રિત હોય છે. બીજા એ શું કરવું તે ઉપર એનો આધાર છે. બીજા લોકોએ આપણી સામાજિક સર્વોપરિતા કઈ રીતે તૃપ્ત કરવી તે આપણું નીતિશાસ્ત્ર હોય છે.

મૅમલ બ્રેન સમૂહમાં જીવવા ઉત્ક્રાંતિ પામેલું છે. સમૂહ સાથે મજબૂત સંબંધો હંમેશા હૅપી કેમિકલ્સનાં સ્ત્રાવને વધારે છે. આ સમૂહ સાથેના સંબંધોમાં તણાવ પેદા થાય કે તરત અનહૅપી કેમિકલ્સ આપણને ચેતવતા હોય છે. દરેક મૅમલ સમૂહ જાણતું હોય છે કે કયું વર્તન સહન કરવા જેવું છે અને કયું નહિ. પશુઓ શબ્દો વગર નિર્ણય લેતા હોય છે, કોની સામે જવું અને કોનાથી ભાગવું. આ નિર્ણય એમના પાછલાં અનુભવોની શ્રુંખલા યાદ કરીને લેવાતા હોય છે. માનવપ્રાણી પણ અમૂર્ત વિચારણા હેઠળ આમ જ કરતું હોય છે.

ઘણી મોટી જાહેર સંસ્થા હોય કે નાનું મિત્રોનું ગૃપ હોય માનવ સમૂહ અમુક વર્તનને સરાહે છે અને અમુકને વખોડે છે. સમૂહના પ્રતિભાવ વડે દરેક માણસ વ્યક્તિગત સર્વાઇવલ સ્ટ્રેટેજી નક્કી કરી લેતો હોય છે. આપણાં જીવના અનુભવો આધારિત ન્યુઅરલ રસ્તો આપણે બનાવ્યો હોય તે રીતે ન્યુરોકેમિકલ્સ આપણને દોરતા હોય છે. આમ દરેક મૅમલ પ્રાણી સતત સહકાર અને સ્પર્ધા વચ્ચે ઝોલા ખાયા કરતું હોય છે. એટલે કયા સંજોગમાં કઈ શ્રેષ્ઠ યોજના વડે  આપણી મહત્તમ જરૂરિયાત પૂરી થાય તે મૅમલ બ્રેન સ્પષ્ટ પણે જોઈ શકતું હોય છે.

આમ સર્વાઇવલ માટે ફાયદાકારક હોય તે રીતે ક્યારે ધાક જમાવવી અને ક્યારે શરણે થઈ જવું તે મૅમલ બ્રેન નક્કી કરી લેતું હોય છે. આમ સર્વોપરી બનવાની અંતઃપ્રેરણા માટે બધું ખરાબ નથી અને બધું સારું પણ નથી હોતું. એનો સારા અને ખોટા માટે ઉપયોગ કરી શકો તે વાત જુદી છે. આ પ્રેરણા વડે તમે દુનિયાને દોરી શકો છો, દુનિયા માટે કોઈ ફાયદાકારક મહાન ભાગ ભજવી શકો છો, તમારા બાળકોનું રક્ષણ કરી શકો છો અને સાથે સાથે તમે ખતરનાક રાક્ષસ પણ બની શકો છો.

આપણા આસપાસના વાતાવરણની પ્રતિક્રિયા મુજબ આપણે સારા ખોટાંની સમજ કેળવતા હોઈએ છીએ. જે વર્તન આપણને લાડુ  ખવડાવે તે સારું અને નાં ખવડાવે તે ખોટું. આમ દરેક વખતે સ્વાર્થ વડે લાડવા ખવાતા નથી. ક્યારેક કોઈનો વિશ્વાસ જીતીને કોઈનું કામ કરીને લાડવા મેળવાય છે. અનુભવ શીખવે છે ક્યારે ટ્રસ્ટ કરવો અને ક્યારે નહિ. લાડવા એટલે રિવૉર્ડ સમજવો, આમ મળેલા રિવૉર્ડ આધારે દરેક બ્રેન પાછલાં અનુભવો દ્વારા શીખતું હોય છે.

આમ આપણાં સર્વાઇવલ માટે આપણે જે નક્કી કર્યું હોય તેમ બીજાએ પણ કરેલું હોય. આપણે જે ધ્યેય નક્કી કર્યું હોય તેમ બીજાએ પણ કરેલું હોય. આપણે દુકાન કરવાનું વિચાર્યું હોય તેમ બીજાએ પણ કર્યું હોય. વળી આપણી બાજુમાં જ આવીને બેસી જાય ત્યારે તકલીફ થતી હોય છે. એકબીજાની વિકનેસ અને સ્ટ્રેન્થ જોવાનું શરુ થઈ જતું હોય છે.

ડૉમિનેટ થવાની urge મૅમલને રિસ્ક લેવા પ્રેરતી હોય છે. નબળા લોકોનું રક્ષણ કરવા જેવા સારા કામ પણ થતા હોય છે, આમાં કોઈવાર જીવ પણ જતો રહેતો હોય છે. તમે ભલે તમારા વારસદારની ફિકર ના કરો અને જોખમ ખેડો પણ મૅમલ બ્રેન સતત તોલમાપ કરતું હોય છે કે ક્યારે જોખમ લેવું અને ક્યારે નાં લેવું. શબ્દો વગર મૅમલ બ્રેન પાછળ વારસો મૂક્યા વગર મરી જઈએ તેવું રિસ્ક લેવાનું અવૉઇડ કરતું હોય છે. પણ તમારા પાછલાં અનુભવો કહેતા હોય કે વારસો  માટે લાભદાયી છે રિસ્ક લેવાનું તો મૅમલ બ્રેન જોખમ ખેડતું પણ હોય છે.

મેમલીઅન ડૉમિનંસ હાઇઆરાર્કી આપણને જીવનમાં ઘણીવાર નિરાશ કરી નાખતી હોય છે. કારણ આ ચડતા ઊતરતા દરજ્જાની વ્યવસ્થા જીન પાસ કરવાની શક્યતા ઓછી કરી નાખતી હતી. એટલે અનહૅપી કેમિકલ્સ ઉત્તેજિત થતા હોય છે. અને હવે આનો વિરોધ કરવો પડશે તેવું જરૂરી લાગે. પણ ડૉમિનન્ટનો વિરોધ કરવાથી હેપીનેસ મળશે તે નક્કી હોતું નથી. હા વિરોધ કરવાથી એક નાનો ડૉસ હૅપી કેમિકલનો જરૂર મળી જાય. પણ તરત પાછાં પછડાવાનું થાય, આમ નિરાશા ફરી વધારે જોરથી આવે. હવે ફરી પેલાં હૅપી કેમિકલ્સનાં  નાના ડૉસ માટે ફરી વિરોધ કરવાનો. છેવટે મોટા પ્રયત્નો પણ નિષ્ફળ જતા હોય છે.

સ્ટૅટ્સ ફ્રસ્ટ્રેશન માંથી મૂક્ત થવાનો  સાચો રસ્તો છે બ્રેનને સમજવાનો. સ્ટૅટ્સ ડિસપૉઇન્ટમન્ટ મૅમલ બ્રેન માટે જીવ જોખમમાં છે તેવું છે. પ્રાણીઓની દુનિયામાં તેવું જ છે. DNA કાયમ માટે નાશ પામી જતા. હાયર રૅન્ક હોય તે સાથી મેળવી શકતો અને DNA પાસ કરી શકતો, અને આ રીપ્રડક્શન ગેમના માહેર અને સફળ ખેલાડીઓ એવા આપણાં પૂર્વજોના આપણે વારસો છીએ, તો એ અનુભવ આપણાં જીનમાં હોય કે નહિ?

આપણું મૅમલ બ્રેન આપણું ભલું જોતું હોય તેમ બીજાનું તેનું જોતું હોય. દરેકના બ્રેનનો જોવાનો અંદાજ અલગ હોય છે. કારણ દરેક બ્રેન તેના યુનિક અનુભવો વડે ઘડાયેલું હોય છે. હા કેટલાક અનુભવો સરખાં હોઈ શકે. આપણે નિર્બળ બાળક તરીકે જન્મ્યા હોઈએ છીએ. આપણી નિર્બળતા પુખ્ત થઈએ ત્યારે પણ જાણતા હોઈએ છીએ. આપણે જે ઇચ્છીએ તે મળતું હોતું નથી, આપણને જે મળવું જોઈએ તે બીજા મેળવી જતા હોય છે. પરિણામ સ્વરૂપ મળે છે નિષ્ફળતા અને વિચારીએ છીએ કે આ દુનિયાને શું થયું છે? દુનિયા બડી બૂરી ચીજ છે.

Each bull’s legacy is threatened by the other bulls. કોઈ આખલો આમ સચેતન વિચારતો નથી, પણ હરીફ આવીને ઊભો રહે એટલે ન્યુરોકેમીકલ્સનું મોજું  ઊછળવાનું.

જીન ફેલાવીને આપણે સફળતા કદી માપતા નથી. પણ રીપ્રૉડક્ટિવ સફળતા બાબતે  જ્યારે પ્રાણીઓનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે આપણી અને તેમની વચ્ચે કેટલું બધું સામ્ય છે તે જણાઈ આવે છે. પ્રાણીઓ સતત એકબીજાના ફર્ટિલિટિ ઇન્ડિકેટર ચેક કર્યા કરતા હોય છે, જે માનવોથી ખાસ જુદું હોતું નથી, (દા.ત. કોઈ મોટા ગુરુજીનો અધિકૃત ચેલો ગુરુજીની કોઈ ભક્ત હોય એવી સુંદર સ્ત્રીને કહેતો હોય આજે સ્વામીજીએ તને સેવા માટે પસંદ કરી છે). પ્રાણીઓ એમના સંતાનોને આગળ રાખતાં હોય છે, જેમ આપણે રાખતાં હોઈએ છીએ. પ્રાણીઓ એમનું સ્ટૅટ્સ વધારીને સંસર્ગની શક્યતા વધારતા હોય છે તેમ માનવો પણ. જે બાબતો રીપ્રૉડક્ટિવ સફળતા માટે કામ લાગે તેવી હોય તે તરફ આપણું મૅમલ બ્રેન તરત દોરવાતું હોય છે ભલે બ્રહ્મચર્યના વ્રત લઈને મઠમાં બેઠાં હોય કે ઘણા બધા પુત્ર પૌત્રાદી જ કેમ નાં હોય.

રીપ્રૉક્ટિસફળતા માટે કામ લાગે તેવા ફૅક્ટર, સારી તંદુરસ્તી, દેખાવ, હાઈસ્ટૅટ્સ, સલામતી, બાળકોની સલામતી વગેરે તરફ મૅમલ બ્રેન પહેલું ફોકસ કરવાનું. કારણ ભલે તમે સચેતન ધ્યાન આપો નહિ પણ મૅમલ બ્રેન તમારી ઇમોશનલ કેમિસ્ટ્રી ઉપર કાબુ ધરાવે છે. એનો મતલબ એ નથી કે પુષ્કળ બાળકો પેદા કરો તો જ સુખ મળે, કારણ આપણું કૉર્ટેક્સ ઘણી બધી વધારાની માહિતી ભેગી કરીને બેઠું હોય છે. પણ જો તમે ખાલી કૉર્ટેક્સને મહત્વ આપશો અને મૅમલ બ્રેનને ઇગ્નોર કરશો તો વાત બનશે નહિ, ભલે જીવનમાં ગમે તેટલા સફળ હશો. હું મૅમલ બ્રેનને  અનુસરવાને ઓછું સમજવાનું વધુ કહું છું. 

કુદરતના રાજમાં નર અને માદા બંનેની રીપ્રૉડક્ટિવ સફળતાની સ્ટ્રેટેજી અલગ અલગ હોય છે. નરની ક્વૉન્ટિટી આધારિત અને માદાની ક્વૉલિટી આધારિત હોય છે. માદાને બાળક પાછળ પુષ્કળ સમય વિતાવવો પડતો હોય છે, અને એક જિંદગીમાં મર્યાદિત બાળકો પેદા કરી શકે. એની સફળતા બાળક મોટું થઈ જાય તેમાં હોય છે. એના માટે ઉત્તમ ન્યુટ્રિશન, ઉત્તમ સંરક્ષણ અને ઉત્તમ પૈતૃક જીન જરૂરી છે. હાઈ-સ્ટૅટ્સ આમાં મદદરૂપ થાય.

નર માટે વધારેમાં વધારે  સંસર્ગ તક મળે તો વધુ સફળતા. એમાં અડચણ હોય બીજા નર. તો મજબૂત બનીને ડરાવીને ભગાડી મૂકો. અથવા શક્ય તેટલી માદાનો વિશ્વાસ જીતીને સફળતા મેળવો. બીજા નર સાથે સામાજિક સહકાર સંસર્ગની તક વધારો. The mammal brain never stops seeking reproductive success.

જેવી સામાન્ય જરૂરિયાતો પૂરી થઈ જાય કે તરત સ્ટૅટ્સ વધારવાનું શરુ થઈ જાય. મૅમલ બ્રેન માટે સર્વાઇવલ અને સ્ટૅટ્સ બંને એક જ છે. સફળતાના માપદંડ માટે હવે કોઈ વસ્તી વધારવાની જરૂર છે નહિ. જરૂર છે મૅમલ બ્રેનને સમજવાની. હવે આપણે ફરી છીએ બાળકો પેદા કર્યા વગર સેક્સ માણી શકીએ છીએ. આપણે અનેક જાતનો ભવ્ય વારસો પેદા કરી શકીએ છીએ.

 

અમર પિયાલો.

અમર પિયાલો.

          અમર પિયાલો મારા ગુરુજીએ પાયો. હવે આ ગુરુજી અમર પ્યાલો જુદી જુદી રીતે પીતા હોય છે અને શિષ્યોને પિવડાવતા હોય છે. જેવા ગુરુ અને જેવા શિષ્યો. સૌથી મોટો ભય હોય thતો તે મૃત્યુનો છે. અમર બની જઈએ તો આ ભય રહે નહિ. આમતો સાયન્સની ભાષામાં કહીએ તો પદાર્થનો નાશ થતો નથી, મૅટરનું એનર્જીમાં અને એનર્જીનું મૅટરમાં રૂપાંતર થતું હોય છે. એક ફ્રેંચ વૈજ્ઞાનિકે પાણી ઉપર પ્રયોગ કરેલો. પાણીમાં રહેલા હાઇડ્રોજન અને ઑક્સિજનને છુટા પાડી વજન કરેલું. બંનેના વજનનો સરવાળો બરોબર પેલાં પાણીના વજન બરોબર જ થયેલો. જો કે આ વૈજ્ઞાનિક પાછો ફ્રેંચ રાજાનો ટૅક્સ કલેક્ટર હતો અને ફ્રેંચ રૅવલ્યૂશન શરુ થયું એમાં આ ભાઈને પણ લોકોએ ગિલટીન ઉપર સુવડાવી મસ્તક બાકીના દેહથી નોખું પાડી દીધેલું.

    આપણાં પૂર્વજ આદિમ માનવો કરતા આપણી પાસે ત્રણ ઘણું મોટું બ્રેન છે. આપણી પાસે કૉર્ટેક્સ બીજા પ્રાણીઓ કરતા બહુ મોટું છે, પણ એમાં એક નુકશાન એ છે કે આપણે ખૂબ વિચારીએ છીએ. ખાસ તો ભવિષ્યનું ખૂબ વિચારીએ છીએ. ભવિષ્યનું વિચારીને આપણાં સર્વાઇવલ માટેની યોજના વિચારી શકીએ તે ઘણું સારું છે, પણ ઘણીવાર નાહકનું વિચારીને ભયભીત થઈને આખી જીંદગી ચિંતાતુર રહેતા હોઈએ છીએ. ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે તે આપણે જાણતા નથી.

      અમરત્વ એક તો પદાર્થનો નાશ થતો નથી, ખાલી રૂપાંતર થાય છે તે રીતે શક્ય છે. બીજી રીત છે તમારા જેનિસ, તમારા DNA આગળ વધતા રહે, ફેલાતા રહે, એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સ્ફર થતા રહે તે રીતે શક્ય બને, બાકી વ્યક્તિગત શારીરિક અમરત્વ કોઈ પણ હિસાબે શક્ય નથી. કુદરત ઇચ્છતી હોય છે કે જીવન ચક્ર આગળ ધપતું રહે. એટલે કોઈ પણ પ્રાણી કે સજીવ પુખ્ત થાય એટલે એની પહેલી ઇચ્છા એનો વંશ આગળ વધે, એની ઝેરૉક્સ કોપી પાછળ મૂકતું જાય તે હોય છે. અને બીજી ઇચ્છા એનું પોતાનું જીવન શક્ય તેટલો સમય ચાલુ રહે. આ બંને ઇચ્છાઓ એકબીજાની પૂરક છે. જીવન ચાલુ રહે તો DNA ફેલાવી શકાય.

આમ દરેક પ્રાણી માટે રીપ્રડક્ટિવ સફળતા અતિ મહત્વની છે. એના માટે સ્વાભાવિક છે કે પુરુષને એના જીન ટ્રાન્સ્ફર કરવા માટે સ્ત્રીની અને તેવી રીતે સ્ત્રીને પુરુષની જરૂર પડે. સ્ત્રી એના શરીરમાં એગ્સનો લિમિટેડ જથ્થો લઈને જન્મતી હોય છે, માટે એના પાર્ટનર પુરુષના જીનની મજબૂત ક્વૉલિટિ એના માટે મહત્વની છે. અને તે જીન ઉછેરવા માટે પુષ્કળ રિસોઅર્સિસ હોય તે મહત્વનું છે. જ્યારે પુરુષ પાસે અબજો સ્પર્મનો  અનલિમિટેડ અમર્યાદ જથ્થો હોય છે. આમ  એના માટે જેટલા જેનિસ ફેલાય દૂર દૂર સુધી તે મહત્વનું હોય છે. આ ફન્ડમેન્ટલ બાબત દરેક માનવમાં સ્વાભાવિક હોય છે.

  હવે જુઓ આ DNA ફેલાવવાની શક્યતા માટે માનવ પ્રાણી  કશું પણ કરવાની હદ સુધી પહોચી જશે. એની પાસે કોઈ પણ પ્રાણી કરતા બહુ મોટું બ્રેન છે. વળી  સ્ત્રીને માટે જીન ટ્રાન્સ્ફર કરવા પૂરતું નથી, એને ઉછેરવાની મોટા કરવાની મહત્તમ જવાબદારી પણ નિભાવતી હોય છે. એનું કારણ છે એની પાસે રહેલો લિમિટેડ એગ્સનો જથ્થો. પુરુષને એની ખાસ પડી હોતી નથી. કારણ એની પાસે અનલિમિટેડ સ્પર્મનો જથ્થો હોય છે. આમ સ્ત્રી હાઈ સ્ટૅટ્સ અને પુષ્કળ રિસોઅર્સિસ ધરાવતા પુરુષને પહેલો પસંદ કરે તે સહજ છે. આ બાબત પુરુષને પણ ખબર હોય છે, જેથી હાઈ સ્ટૅટ્સ કમાવા માટે તે કઈ પણ કરતો હોય છે.

   જુઓ એક વાર હાઈ સ્ટૅટ્સ અને પૂરતું ધન કમાઈ લીધા પછી પુરુષના ચક્કર સ્ત્રી પાછળ ચાલુ થઈ જતા હોય છે. આમ તો લગ્ન વ્યવસ્થાને લઈને લગભગ દરેક પુરુષને સ્ત્રી તો મળી જતી હોય છે, પણ પેલી જેટલા ફેલાય તેટલા DNA ફેલાવવાની અંતઃપ્રેરણા, અને મળેલું મોટું બ્રેન જાતજાતના નુસખા શોધી કાઢે છે. સચેતન રૂપે નહિ ,પણ અચેતન રૂપે વિવિધ ઉપાય અજમાવાતા હોય છે. કોઈ ધર્મ કે ધર્મનું જ્ઞાન, ફિલૉસફી, નૈતિકતા પાઠ, એથિક્સ, મરૅલિટી બધું આ urge પાસે પાણી ભરે છે. આ અંતઃપ્રેરણા પાસે કોઈનું કશું ચાલતું નથી. ૮૦ વરસના નારાયણ દત્ત તિવારી હોય કે ૩૦ વર્ષના ધર્મગુરુ નિત્યાનંદ હોય, યુવાન દીકરો અને  દીકરી ધરાવતા વૃદ્ધ મહાગુરુ ઍશોઆરામ બાપુ હોય બધા આ અંતઃપ્રેરણા પાછળ પાગલ થઈને એની પૂર્તિ કરવા ઝઝૂમતા હોય છે.

  લિબીયાના ગદ્દાફી સિમ્પલ મૅમલ બ્રેન, ફાંસીવાદી પરિબળોને હટાવવા મેદાનમાં આવીને પોતે જ ફાંસીવાદી બની ગયો. લિબીયાનો ઍલ્ફા નર બનીને ૪૦ સુંદર, મજબૂત સ્ત્રી અંગરક્ષકો ધરાવતો સરમુખત્યાર બની બેઠો. મન ફાવે ત્યારે આ સ્ત્રી બૉડી ગાર્ડનો ઉપયોગ કરી શકાય. સ્ત્રી અંગરક્ષક રાખવાનો ઇતિહાસ નવો નથી. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય ૩૦૦ ધનુર્ધારી  સ્ત્રી અંગરક્ષકો વડે કાયમ ઘેરાયેલો રહેતો હતો.

ચીનના રાજાઓ અસંખ્ય સ્ત્રીઓ એમના હરમમાં રાખતા. અરે ચીનના રાજા પહેલીવાર લગ્ન કરે ત્યારે એક સાથે બે સ્ત્રીઓ સાથે લગ્ન કરવા ફરજિયાત રિવાજ હતો. ઘણા ગામ ધણીઓ ગામમાં કોઈ પણ પુરુષ પરણીને આવે તેની સ્ત્રી સાથે પહેલી રાત ભોગવતા. ઘણા વૈષ્ણવ આચાર્યો બ્રેન વૉશ કરી ભક્તોની સ્ત્રીઓમાં અમરત્વના ઝંડા ગાડી દેતા હોય છે. જેટલા જીન દૂર દૂર ફેલાય તેટલી રીપ્રડક્ટિવ સકસેસ વધારે. આશરે ૧૬ મિલ્યન લોકોમાં ચંગીઝખાનના જીન હાલ મોજૂદ છે.

શ્રી રામ કરતા કૃષ્ણ વધારે અમર હોય તે શક્યતા વધારે છે. એવા ધાર્મિક તાંત્રિક પંથો પણ અસ્તિત્વ ધરાવે છે જે ઉપરથી સામાન્ય ભક્તિ સંપ્રદાય હોય તેવું લાગે, અંદરથી અમર પિયાલો સાધવાની કોશિશ જિનેટિકલી કરતા હોય છે. એમના સામાન્ય વપરાશના શબ્દો ઊંચી ફિલૉસફી દર્શાવતા હોય પણ અસલી સંકેત જુદા હોય છે. એમના કાચાં ચેલા બધું જાણતાં ના હોય તેવા, પાકા ચેલા એમના વિશ્વાસુ ઇનર સર્કલમાં હોય તેવા જે એમના ગૂઢ કાર્યોમાં સામેલ હોય. કાચાંનું પૂરું બ્રેન વૉશ થઈ જાય પછી પાકો બની જાય. આવા તાંત્રિક પંથો જાહેરમાં આવે નહિ. વિવેકાનંદને પણ સૌરાષ્ટ્રમાં તાંત્રિક પંથનો અનુભવ થયેલો. એક ગુરુના ચેલા બધા ગુરુભાઈ એટલે એમની પત્નીઓ પણ સામૂહિક. અલખ ધણી એવો શબ્દ પણ વાપરી શકાય, જેથી અર્થ થાય કે ઉપરવાળો ધણી. પણ એક અર્થ એવો પણ થાય કે કોઈ એક ધણી નહિ, બધા ગુરુ ભાઈ સંસર્ગ કરી શકે.

    સ્ત્રી પણ હાઈ સ્ટૅટ્સ ધરાવતાની બીજી ત્રીજી કે ચોથી પત્ની બનવા તૈયાર થશે પણ સ્ટૅટ્સ વગરના અને ગરીબની પહેલી પત્ની બનવા જિનેટિકલી તૈયાર નહિ થાય. આજે ભલે મનૉગમી નૉર્મલ લાગે પણ હતી નહિ. મનૉગમી શરુ થઈ ગ્રીક લોકોના સમયમાં. પહેલા ગૃપ નાના હતા. બહુ મોટા ગૃપના, સમૂહના નેતા બનવું હોય તો મોટી સંખ્યામાં બીજા પુરુષોનો સાથ જોઈએ. એના માટે દરેકને સ્ત્રી ઉપલબ્ધ થાય તો સહકાર વધે, ટૅક્સની આવક વધે. એટલે પૉલીગમસ લોકોએ સંખ્યાબળ વધારવા મનૉગમસ બનવાનું સ્વીકાર્યું, અને સ્વાભાવિક છે મનૉગમસ સમાજ બહુ ઝડપથી વિકાસ પામે, બહુ સંખ્યક ઝડપથી બની જાય.

મેસોપોટેમીયા અને એલેક્ઝાડ્રીયાનાં સૈન્યો સમગ્ર યુરોપને ધમરોળવા લાગ્યા, સિકંદર છેક ભારત સુધી આવી ગયેલો. આમ લશ્કરી જરૂરિયાતે ધીમે ધીમે યુરોપને મનૉગમસ સમાજમાં પરિવર્તિત કરી નાખ્યું. એમાં ક્રિસ્ચન ધર્મની મહોર રોમન સમયે લાગી ગઈ. દુનિયાની વસ્તી વધતી ચાલી. આમ દરેકને સ્ત્રી મળવા લાગી, બાકી કુદરતના રાજમાં ગરીબ કે ભિખારી પાસે સ્ત્રી હોય નહિ, આમ સ્ત્રીઓની પણ સંખ્યા વધતી ચાલી તો તેમની પાસે પણ ચૉઇસ રહી નહિ. એની શારીરિક ઇચ્છાઓ માટે ક્વૉલિટી જોવાનું બંધ થયું. જેને તેને વરવા લાગી કે મજબૂરી સમજો.

ભિખારીને વરીને સ્ત્રી ભિખારણ બની ગઈ અને બાળકો ઉછેરવાની શક્તિ હોય નહિ તો પણ બાળકો પેદા કરવા લાગી. એક દુષ્ચક્ર ચાલુ થયું, જેનો કોઈ અંત ના હોય. “કૌન બનેગા કરોડપતિ” જોતા જોતા મને હસવું આવતું. ‘એકજ આશા બચી હતી, અમારા બાળક માટે એક આશા હતી જે આજે પૂરી થઈ, બાળકને સારું એડ્યુકેશન આપવાનું હતું તે ઇચ્છા આજે પૂરી થઈ.’  આવા સંવાદો સાંભળી મને થતું કે શું આ ‘કૌન બનેગા કરોડપતિ’ પ્રોગ્રામ માટે બાળકો પેદા કર્યા હતા ? આ પ્રોગ્રામ રજુ થવાનો છે તેની ખબર હતી ? આ પ્રોગ્રામની રાહ જોતા હતા ? પોતાના ખાવાના ફાકા હોય તો બાળકો પેદા શું કામ કરવા પડે ?

મોટું બ્રેન ભવિષ્યની ખૂબ ચિંતા કરે, સદીઓ સુધી પેઢી દર પેઢી જીન ટ્રાન્સ્ફર થશે તેની ખાતરી શું? અમરત્વનું શું ? અલ્કેમી, રસાયણ, કોઈ ચ્યવનપ્રાશ શોધો. નહીતો પછી કોઈ સાધના, કોઈ તંત્ર, યંત્ર, બાળકોના બલિદાન, કોઈ થીઅરી, કોઈ સિદ્ધાંત શોધી કાઢો. નહીતો પછી મન મનાવો કે આત્મા અમર છે કે એનો નાશ થતો નથી. નહીતો પછી વારંવાર જન્મ લેશું, પરલોકમાં કે સ્વર્ગમાં વસીને કે ગોલોક કે અક્ષરધામમાં જઈને પણ અમરત્વ તો મેળવીશું જ. અમરત્વ એટલે  પદાર્થનો નાશ થતો નથી કે પછી જ્યાં સુધી હોમો-સેપિન માનવનો એક પણ અંશ જીવતો  છે ત્યાં સુધી આપણે અમર જ છીએ ??

ભયથી અભય તરફ.(Hard Truths About Human Nature).

One of several versions of the painting "...
Image via Wikipedia

ભય થી અભય તરફ

       અરે! એમાં બીવાનું શું ? કોઈ વ્યક્તિ સામાન્ય વસ્તુથી ડરે ત્યારે આપણે આવું ઉચ્ચારીયે છીએ. પણ આવું ઉચ્ચારનાર પણ કોઈ વસ્તુથી ડરતો તો હોય છે. “મને નાનપણમાં કૂતરાની ખૂબ બીક લાગતી, આમ તો હું કૂતરાથી બીતો નહિ, પણ એકવાર શ્વાન મહાશય કરડી ગયા અને પછી જે ઇન્જેક્શન લેવા પડ્યા ત્યારથી કૂતરાંની બહુ બીક લાગે છે,” આવું મારા એક મિત્રે મને જણાવ્યું, ત્યારે મને કોઈ નવાઈ લાગી નહિ.  જો કે મને પણ નાનપણમાં કૂતરાનો ડર જરૂર લાગતો.

ડર સ્વાભાવિક છે. ડર  સર્વાવલ માટે જરૂરી પણ છે. ડર લાગે નહીતો તો તમે ભાગો નહિ. અને સામે કોઈ સાપ કે હિંસક પ્રાણી હોય તો ? જીવ ગયો સમજો. આમ ડરના જરૂરી હૈ. પણ ઘણીવાર કારણ વગર ડર લાગે ત્યારે વિચારવું જરૂરી છે. ઘણીવાર સ્પિસિફિક ફોબિઆ બેસિક anxiety disorder ગણાય છે. ડૉગ ફોબિઆ, જ્યારે પણ કૂતરાને જોઈએ ત્યારે ખૂબ ડર લાગે, હાર્ટની ધડકન  વધી જાય, પરસેવો વળી જાય, ધ્રુજારી ફરી વળે, શ્વાસ ઝડપી અને ટૂંકા થઈ જાય.

આમ જ્યારે કોઈ પ્રસંગ એવો ઊભો થાય, કે કોઈ આવી ભયજનક પરિસ્થિતિનો સામનો થાય જેમ કે કોઈ કૂતરું કરડી જાય પછી કાયમ તેનો ભય લાગે, આમ ફોબિઆ ક્રિએટ થતો હોય છે. ઘણીવાર માબાપ કાયમ ચેતવતા હોય કે ફલાણા ભાઈના કૂતરાથી સાવધ રહેવું. જોકે એમાં એમનો ઇરાદો ચેતવવાનો હોય છે, પણ ઘણીવાર આવી રીતે અતિશય ચેતવણી પણ ફોબિઆ ઊભો કરવામાં મદદ કરતી હોય છે.

Agoraphobia એટલે જાહેર જગ્યા, પબ્લિક પ્લેસ કે માર્કેટ પ્લેસનો ડર. ફોબિઆ જાત જાતના હોય છે. પક્ષીના પીંછાનો પણ ફોબિઆ હોય છે. અરે ગભરુ એવા કબૂતરનો પણ ફોબિઆ હોય છે. અરે શ્વેત અને અશ્વેત લોકોના ફોબિઆ પણ જુદા જુદા હોય છે. આમ તો પાંચ  પ્રકાર ફોબીઆના પાડેલા છે.

  ૧) Animal Type. ( કૂતરા, સાપ, ઉંદર, વંદો અને બીજા પ્રાણીઓ).

            ૨) Natural -environment type . (વાવાઝોડા, વરસાદ, પાણી, કુદરતી તોફાનો).

            ૩) Blood -injection injury type .

            ૪) Situational type. (એર ટ્રાવેલ કે એલિવેટર).

            ૫) આ લિસ્ટમાં નાં હોય તે બધા.

          આફ્રિકન અમેરિકન લોકોમાં શ્વેત લોકો કરતા કૂતરાં, સાપ, ઉંદર અને કરોળિયાનો ડર વધારે હોય છે. સામાજિક ફિઅર જેવા કે મૂર્ખાં દેખાશું, કોઈ કામમાં સફળ નહિ થવાય, અને લોકો ટીકા કરશે તેવા ફોબિઆ અશ્વેત લોકોમાં વધુ જોવા મળ્યા છે. કૂતરાથી સાવચેત રહોના પાટિયા પણ એના ડરમાં વધારો કરતા હોય છે.

કબૂતર સાવ ગભરુ દેખાતું હોય છે, અને હોય પણ છે. છતાં એનો ડર લાગતો હોય તેવી એક વિદેશી મહિલાને ટીવી ઉપર જોએલી. કબૂતર જોઇને ચીસાચીસ કરી મૂકે. જે વસ્તુનો ભય લાગતો હોય તેનો સામનો કરવો તે પણ ઉપાય બની શકે. આ બાઈને પહેલા તો કબૂતરના ફોટા બતાવીને ટેવ પાડવામાં આવી કે કબૂતર કોઈ ભય માટે કારણરૂપ નથી. ફોટા જોઇને પણ ચીસો પડતી હતી. ધીમે ધીમે કબૂતર નજીક લઇ જવાતી. આમ ધીમે ધીમે માંડ માંડ કબૂતરનો ભય દુર થયો. વિમાની અકસ્માતમાંથી બચ્યા હોય તેમને પણ ઘણીવાર વિમાનમાં બેસવાનો ડર લાગતો હોય છે.  ફોબિઆનું લિસ્ટ બહુ લાંબુ છે.

ડર લાગે ત્યારે Adrenalin ફ્લો વધી જતો હોય છે. હવે કારણવગર ડર લાગતો હોય ત્યારે એના ફ્લોને કંટ્રોલ કરવાથી ડર ઓછો થઈ જતો હોય છે. આ હૉર્મોન્સ સ્ત્રાવ વધી જાય તો નુકશાન કારક છે. કોઈ વાર મોત પણ મળી જાય. એનું નિવારણ કરવા,

 ૧) સૌ પ્રથમ તમારા હાથ અને પગના સ્નાયુને તંગ બની ગયા હોય તેને ઢીલાં છોડી દો,

 ૨) થોડા ઊંડા શ્વાસ લો,

 ૩) ધ્યાન બે આંખો વચ્ચે કેન્દ્રિત કરો,

 ૪) એક હાથ કપાળ ઉપર મૂકો, અને

૫) બીજો હાથ માથા પાછળ નીચે રાખો.

             આટલું કરવાથી ઝડપથી શાંત થઈ જવાશે. ડર ઓછો થઈ જશે, બેચેની ઓછી થઈ જશે તણાવ મુક્ત થવું હોય તો પૂર્વની ઘણી બધી ટેક્નિક બહુ કામ લાગી જાય છે. પશ્ચિમના મેડિકલ સાયન્સ મુજબ રોગના કારણો શોધો, એની ઍક્ટિવ દવા શોધો. વંઠેલ બીમારીઓમાં મન મક્કમ રાખી લડાયક ખમીર રાખો. જ્યારે પૂર્વના આરોગ્ય વિષયક જ્ઞાન મુજબ, શારીરિક  ઘટકોમાં બૅલન્સ ખોરવાય અને શક્તિ પ્રવાહ ક્યાંક રોકાય તો બીમારીઓ આવતી હોય છે. ઉપાયમાં હર્બલ દવાઓ, થોડી આસનો જેવી હલનચલન, ખાવાપીવામાં પરેજી. અને મેડીટેશન.

આપણું નાનું મગજ જેવું કે amygdala અથવા hypothalamus કોઈ ભયજનક મુશ્કેલી આવે ત્યારે સચેત થઈ જતા હોય છે, અને સર્વાઇવલ માટે શું કરવું, ભાગવું કે લડવું તે સૂચવતા હોય છે. એના માટે જે કામ લાગે તેવા હૉર્મોન્સનો સ્ત્રાવ કરતા હોય છે. પણ ઘણીવાર આ બ્રેન સેન્ટર કારણ વગર વધારે સેન્સિટિવ બની જતા હોય છે. આપણાં જુના અનુભવોને વર્તમાનમાં લાવીને હાયપર સેન્સિટિવ બની જતા હોય છે અને આપણે તણાવ ,બેચેની અને ભય પામતા હોઈએ છીએ. ખરેખર સાપ સામે આવે કે વાઘ આવે તો ભય લાગે તે સ્વાભાવિક છે, પણ સાપનો ફોટો કે ટીવી શો જોઇને પણ ધ્રુજારી વછૂટી જાય તે અસ્વાભાવિક છે.

પ્રાણીઓને કોઈ ભયજનક મુશ્કેલી આવે તો બ્લડ પ્રેશર વધી જાય અને સ્ટ્રેસ હૉર્મોન્સ એમને ભાગવા માટે સૂચવે સાથે એક્સ્ટ્રા એનર્જી આવી જાય, અને ભયજનક મુશ્કેલી ટળી જતા નૉર્મલ બની જતા હોય છે. જ્યારે  આપણે માનવપ્રાણીઓ સદાય સ્ટ્રેસમાં જીવતા હોઈએ છીએ, અને નૉર્મલ બનતા નથી. જેથી સ્ટ્રેસ હૉર્મોન્સનું નિવારણ જલદી થતું નથી. હાઈ બ્લડ પ્રેશર માટે પ્રાણીઓને રોજ એક ટેબ્લેટ ખાવી પડતી નથી, આપણે ખાવી પડતી હોય છે. ખેર ધ્યાન મેડીટેશન આપણાં મનને ઓવર રિએક્ટ કરવામાંથી બચાવે છે, માનસિક ઇમ્બૅલન્સ કરેક્ટ કરે છે. આપણાં ગુસ્સાને કાબુમાં કરે છે. માનસિક મુશ્કેલીઓ સામે જે ડર હોય છે તેને કંટ્રોલ કરે છે. આમ ઈમ્યુન સિસ્ટમમાં પણ વધારો થાય છે અને ક્રૉનિક  કે વંઠેલ રોગો સામે લડી પણ શકાય છે.

     અમેરિકામાં હાર્વર્ડ મેડિકલ સ્કૂલના John Kabat-Zinn નામના એક સંશોધકે ધ્યાનનો એક પ્રોગ્રામ ડિવલપ કર્યો છે. નામ આપ્યું છે Mindfulness-Based Stress Reduction Therapy (MBSR). બુદ્ધના અનાપાનસતી કે વિપશ્યના ધ્યાન કહો કોઈ ફરક નથી. આ મેડીટેશનમાં મહત્વનું છે શ્વાસ ઉપર ફોકસ કરવું અને મન બીજે ભટકતું હોય ભૂત કે ભવિષ્યમાં એને વર્તમાનમાં સ્થિત કરવું.  Richard Davidson અને તેના સાથીઓ દ્વારા ૨૦૦૩માં એક સ્ટડી થયેલો તે મુજબ તંદુરસ્ત લોકોના એક સમૂહને આઠ અઠવાડિયા આ પ્રકારે ધ્યાન કરાવતા તેમના બ્રેનમાં થતી ઇલેક્ટ્રિકલ ઍક્ટિવિટિની પૅટર્ન બદલાઈ ગઈ હતી. એમના બ્રેનના ડાબી બાજુના ભાગ વધારે સક્રિય બન્યા હતા. એમના શરીરમાં antibody વધ્યા હતા. એમની રોગપ્રતિકારક શક્તિ પણ ઇન્ફ્લુએન્ઝા જેવા રોગ સામે વધી હતી.

   ધ્યાનથી બીજો એક ફેરફાર ધ્યાનમાં આવ્યો છે કે બ્રેનના hippocampus વિભાગના ગ્રે મૅટરમાં વધારો થયેલો, જે વિભાગ મૅમરી અને લર્નિગ માટે મહત્વના હોય છે, અને amygdale વિભાગના ગ્રે મૅટરમાં ઘટાડો નોંધાયો જે pre-cortical alarm system માટે ઇનિશિએટર છે. આનાથી એવું તારણ નીકળે કે meditation increases conscious control over emotional, behavioral, and attentional response to threat.

  Chris Brown અને તેના સાથીઓ (University of Manchester) જણાવે છે કે માઈન્ડફુલનેસ ધ્યાન પ્રયોગથી જ્યારે કોઈ દર્દ થાય તેવું બને જેવું કે સામાન્ય ઇલેક્ટ્રિક શૉક લાગે કે કોઈ ગરમ વસ્તુને હાથ લાગી જાય ત્યારે prefrontal કૉર્ટેક્સમાં થતી અસામાન્ય હલચલ ઓછી કરે છે. એનાથી જે લોકો નિયમિત ધ્યાન કરતા હોય તેમને દર્દ બીજા લોકો કરતા ઓછું થતું હોય છે.

બીજો એક મોટો ફેરફાર ધ્યાન કરતા એ થતો હોય છે કે બ્રેનમાં થતી ઇલેક્ટ્રિકલ ઍક્ટિવિટિ જમણા વિભાગથી ડાબા વિભાગ તરફ સક્રિયતા દાખવતી હોય છે જેના લીધે પૉઝિટિવ લાગણીઓ જેવી કે પ્રેમ અને કરુણામાં વધારો થતો હોય છે.

Simple Breath Awareness Meditation Instructions:

                #  આરામદાયક શાંત, કોઈ દખલ ના કરે તેવી જગ્યા પસંદ કરવી.

#  આસન ઉપર કરોડરજ્જુ સીધી રહે તેમ બેસવું.

#  શ્વાસ અંદર જાય અને બહાર જાય તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું.

#  શ્વાસને નૉર્મલ વહેવા દેવો, એના લયમાં કોઈ ફેરફાર કરવો નહિ.

   એની જાતે  કોઈ   ફેરફાર થાય તે જોતા રહેવું.

#  મન બીજે જતું રહે તે પણ જોવું અને મૃદુતાથી પાછું વાળીને ફરી શ્વાસ    ઉપર કેન્દ્રિત  કરવું.

#  શ્વાસોચ્છવાસને ઑબ્ઝર્વ કરવાનું ૧૫-૨૦ મિનિટ ચાલુ રાખવું. 

કારણ વગરના ભય નાબૂદ કરવા માટે ધ્યાન બહુ મદદરૂપ થાય છે. તણાવમુક્ત રહેવા માટે પણ મદદરૂપ થાય છે. ધ્યાન બ્રેનની કસરત છે, એને કોઈ ધર્મ સાથે સાંકળવાની જરૂર નથી. ધ્યાન કહેવાતા ધર્મથી પરે છે. બાવાઓ ધ્યાન કરતા નથી, ખાલી કથાઓ કરે છે. “Meditation is the medicine for mind, anybody can use It.” ઔષધ તો ફક્ત ઔષધ છે. કોઇપણ બીમાર એને વાપરી શકે છે. અમુક ઔષધ બીમાર ના હોવ છતાં ઈમ્યુન સિસ્ટમ વધારવા લોકો વાપરતા હોય છે, જેમકે ચ્યવનપ્રાશ. મેડિસિન ઉપર ધર્મનું લેબલ કોઈ મારતું નથી. ડિપ્રેશન, ચિંતા, ફોબિઆ મનની બીમારી છે. મહાવીરે આખી જિંદગીમાં ક્યારેય પ્રાર્થના કરી નથી. ઉપરના રિસર્ચ રિપૉર્ટ ઉપરથી સમજાય છે કે ધ્યાન કરતા બુદ્ધ અને મહાવીરે અભયના સૂત્રો આપ્યા. પ્રેમ અને કરુણા વડે જગને જીતવાનો દાખલો આપ્યો. Amygdala માં થતી કારણ વગરની કલ્પનાઓ દ્વારા રચાતી વિવિધ છબીઓને (ભગવાન) નકારી, નિર્ગ્રંથ બન્યા, અભય પામ્યા.

ભય થી અભય તરફ.(Hard Truths About Human Nature).