All posts by Bhupendrasinh Raol

વિચારવાની બારીઓ ખોલીને બેઠેલો સીધોસાદો માનવી.

પ્રતિબુદ્ધિવાદ, anti-intellectualism

105228Image1પ્રતિબુદ્ધિવાદ, anti-intellectualism

વિજ્ઞાન ભણવું અને વૈજ્ઞાનિક અભિગમ રાખવો બંને ભિન્ન છે. આપણા વૈજ્ઞાનિકોમાં પણ વૈજ્ઞાનિક અભિગમ હોતો નથી. એટલે એજ્યુકેશન અને વૈજ્ઞાનિક અભિગમ અને રેશનલ અભિગમને કશું લાગેવળગે નહિ. પણ જે દેશોમાં એજ્યુકેશન સાથે વૈજ્ઞાનિક અને રેશનલ અભિગમ છે ત્યાં ધર્મ ચોક્કસ નબળો પડ્યો છે જેવા કે સ્કેન્ડીવિયન દેશો. હિન્દુત્વ જીવન જીવવાની એક રીત એક તરીકો છે તેના બદલે આપણે ધર્મ માની બેઠાં છીએ. મને હિંદુ નિરીશ્વરવાદી કે હિંદુ નાસ્તિક તરીકે ઓળખાવતા જરાય શરમ આવતી નથી. કારણ મારા પૂર્વજ હિંદુ મનીષીઓએ જ દુનિયાને નિરીશ્વરવાદ અને રેશનાલીઝમ શીખવ્યું છે. આપણે ત્યાં લગભગ એન્ટી-ઈન્ટેલેકચ્યુઆલીઝમ ચાલે છે, પ્રતિબુદ્ધિવાદ. બુદ્ધિવાદી હોવું આજના ભારતમાં ગાળ સમાન છે. આપણા લેખકો, કવિઓ, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, શિક્ષકો, શિક્ષણશાસ્ત્રીઓ એવા અનેક કહેવાતા ઈન્ટેલેકચ્યુઅલ ખરેખર એન્ટી-ઈન્ટેલેકચ્યુઆલીઝમમાં માનતા છે. એ આ દેશની બહુ મોટી કમનસીબી છે. આપણે ત્યાં વેદો માન્ય દર્શન શાસ્ત્રોની છ સ્કૂલ હતી. સાંખ્ય જે નિરીશ્વરવાદી હતું, યોગ, વૈશેષિક, ન્યાય, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. ઉત્તર મીમાંસાથી ઈશ્વરભાઈ ઘૂસ્યા છે. કેટલા બુદ્ધિશાળી હતા એ લોકો? ઈશ્વરમાં નાં માનવું, ઈશ્વરનો ઇનકાર પણ વેદો માન્ય હોવાથી આસ્તિક કહેવાતા. કેટલી ઓપનનેસ હતી એ લોકોમાં?

અને આજે? તમે ઈશ્વરની કલ્પનામાં નાં માનતા હો તો તમને નાલાયક સમજવામાં આવે છે ભલે તમે નૈતિક હો. અને તમામ અનૈતિકતાઓ આચરતા હો પગની પાનીથી માથાની ચોટલી સુધી ભ્રષ્ટાચારી હો પણ કૃષ્ણને ભગવાન માનો તો તમે સારા છો. કૃષ્ણ મારે માટે એક મહા માનવ છે, ઈશ્વર થઈને જીવેલો માનવી છે. ભલે કૃષ્ણ માટે મને ખૂબ પ્રેમ હોય પણ જો હું કૃષ્ણને ભગવાન નાં માનું તો મૂર્ખાઓ મને પથ્થર લઈ મારવા દોડશે અને એવા લોકો જે કૃષ્ણ વિષે કશું જાણતા જ નથી.

મુસ્લિમ દેશોની તો વાત જ નાં કરશો. મુસ્લિમ દેશો તો લગભગ સંપૂર્ણપણે પ્રતિબુદ્ધિવાદ (એન્ટી-ઈન્ટેલેકચ્યુઆલીઝમ) તરફ ખેંચાયેલા જ છે. કાશ્મીરના અલગતાવાદી જુઓ. તાલીબાનો જુઓ. પેશાવરની સ્કૂલમાં હુમલો કરી નાના બાળકોને રહેંસી નાખ્યા. ISIS જુઓ, હવે તો આ લોકોએ નાના બાળકોની ત્રાસવાદી સેના બનાવી છે. એમના બ્રેનમાં બુદ્ધિ નામનું કોઈ તત્ત્વ બચપણ થી જ રહેવા દેવાનું નહિ. આ બાળકો પકડાયેલા સૈનિકનું માથું કાપતા જરાય કંપતા નથી. એકલાં ભારતમાં નહિ પણ અમેરિકામાં પણ આવું જ છે. અમેરિકાનો કોંગ્રેસમેન Congressman Paul Broun (R-Ga.)જે પોતે ડૉક્ટર છે, એમ. ડી. છે, વર્ષોથી ડૉક્ટર તરીકે પ્રેક્ટીશ કરે છે તે કહે છે, ‘ઉત્ક્રાંતિ, બીગ બેંગ બધું નરકના ખાડામાંથી આવેલુ જૂઠ છે.’ એના શબ્દોમાં “God’s word is true. I’ve come to understand that. All that stuff I was taught about evolution and embryology and the big bang theory, all that is lies straight from the pit of Hell.” આ ડૉક્ટરનું કહેવું છે બાયબલે કહ્યા પ્રમાણે છ દિવસમાં પૃથ્વીની રચના કરી છે. બીજા એક સેનેટ ઇન્વાયરમેન્ટલ પૅનલના ચેરમેન હાથમાં સ્નોબોલ લઈને ચેમ્બરમાં આવેલા અને કહે ક્લાઈમેટ ચેઇન્જ હોક્સ છે, મજાકમાં કરેલી છેતરપિંડી. આવા ભણેલા પણ ગણેલા નહિ એવા મોટા માથા અમેરિકામાં એન્ટી-ઈન્ટેલેકચ્યુઆલીઝમનાં પ્રણેતા છે. ત્રણમાંથી એક અમેરિકનને તેના વાઈસ પ્રેસિડન્ટનું નામ ખબર નથી.

આપણે જરા વિચારીએ તો કોમવાદ, ભડકાવનારી ધાર્મિકતા બધું નિરર્થક છે. પણ વિચારીએ તો ને? વિચારીએ જ નહિ તો પછી? એટલે જે લોકોને સામાન્ય પ્રજા ઉપર રાજ કરવા છે તે લોકો પહેલું તો પ્રજા વિચારે તે બંધ કરાવશે. કારણ તમે વિચારશો તો એમનું કહ્યું નહિ માનો. તમે દલીલો કરશો. તમે કારણ શોધશો. કાર્યકારણનો સંબંધ શોધશો. અને કોઈ કારણ જડે નહિ તો તમે એમની વાત કે આજ્ઞા માનવા ઇન્કાર કરશો. તો પછી એમના ધંધાનું શું? પણ આ પ્રતિબુદ્ધિવાદ એકંદરે સમગ્ર પ્રજાનો વિકાસ અટકાવશે. તે મૂરખ પ્રજાને ખબર હોતી નથી. જર્મનીમાં હિટલરે તે જ કરેલું. પ્રજાને hyper-patriotism નું અફીણ પિવડાવી દીધું. નાના બાળકો સહિત કાળજું કંપાવી દે, એક બે નહિ ૬૦ લાખ યહૂદીઓને જીવતા શેકી નાંખ્યાં. જો જરા એક બ્રેન ન્યુરોન્સ વાપરી વિચારો તો એક પણ માણસની હત્યા તમે કરી શકો નહિ.

જો તમે તમારા બ્રેન ન્યુરોન્સ વાપરી વિચારો તો એક કીડીને મારવામાં પણ તમને કોઈ તર્ક નહિ દેખાય. અને એવું વિચારવાની ક્ષમતા ધરાવનારને આપણે મહાવીર કહ્યા છે, બુદ્ધ કહ્યા છે. આપણે બધા Anti-intellectualism અને Iintellectualism વચ્ચે ઝોલા ખાતા હોઈએ છીએ. કારણ આપણું એનિમલ બ્રેન સર્વાઈવલ સિવાય બીજી કોઈ ભાષા જાણતું નથી. માટે તે પોતાના સર્વાઈવલ માટે કોઈની પણ હત્યા કરી શકે છે. તમે માની શકો એક માતા પોતાના સંતાનને મારી શકે? લાર્જ કોર્ટેક્સ, મોટા મગજ, વિચારશીલ બ્રેનમાં આ વાત ઊતરે નહિ. પણ બરોડાની પાસેના ગામમાં આવો બનાવ બનેલો જે સંદેશ છાપામાં આવેલો. એક માતાની એના પતિથી છાની એના પ્રેમી સાથેની કામલીલા એના સંતાન વડે અકસ્માતે જોવાઈ ગઈ. પકડાઈ જવાની બીકમાં માતાએ એના છોકરાના પગ પકડી રાખ્યા અને એના પ્રેમીએ પેલાં નાના છોકરાનું ગળું દબાવીને હત્યા કરી નાખી. આ હતું એનિમલ બ્રેન, નાનું મગજ, લિમ્બિક સિસ્ટિમ અથવા મેમલ બ્રેન, જે પોતાના સર્વાઈવલ માટે માતા-પિતા, ભાઈઓ-બહેનો કે સંતાનોની પણ હત્યા કરાવી શકે. મુગલ આજ કરતા હતા. જે બાપે જનમ આપ્યો હોય જે ભાઈઓ સાથે રમ્યા હોય તેની જ હત્યા કરતા. ઔરંગઝેબ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

અર્જુન શું હતો? Anti-intellectualism અને intellectualism વચ્ચે ઝોલા ખાતો હતો. સામે ભાઈઓ, ગુરુ, અને દાદા સહિત સગાઓ જ ઊભા હતા એમની સામે સર્વાઈવલ માટે લડવાનું હતું. એનું લાર્જ કોર્ટેક્સ નાં પાડતું હતું અને એનિમલ બ્રેન લડવા માટે ઉશ્કેરતું હતું. પણ એ વિચારશીલ વધુ હતો માટે કૃષ્ણ સામે દલીલો ઉપર દલીલો કરે રાખતો હતો. એક સમયે સગાઓને મારીને સર્વાઇવ થવા કરતા મોત પસંદ હતું એને. છેવટે રાબેતામુજબ કૃષ્ણે કહી દીધું મામેકં શરણં વ્રજ હું કહું તેમ કર, મારી શરણમાં આવી જા, શંકા કરીશ નહિ, નહિ તો તારો નાશ નક્કી છે. આજે પણ માબાપ સંતાનોને કહી દેતા હોય છે કહીએ તેમ કર બહુ ડાહ્યો થયા વગર. જે દાદાએ ખોળામાં રમાડ્યો હતો તેમની, જે ગુરુએ ભણાવ્યો હતો તેમની એવા તો બહુ બધાની હત્યા એણે કરી. એટલે તો મહાવીર જેવા intellectual ની સમજમાં આ વાત કદી ઊતરે નહિ. અર્જુનની જગ્યાએ મહાવીર હોત તો સામેથી કહી દેત મારે તસુભાર જમીન જોઈતી નથી હું તો આ ચાલ્યો વનમાં. અર્જુનને બુદ્ધિવાદ તરફથી પ્રતિબુદ્ધિવાદ તરફ ઘસડી જનારા કૃષ્ણ ભગવાન કહેવાયા. સર્વાઈવલ માટે ભલે જરૂરી હતું પણ ત્યારથી ભારત બુદ્ધિવાદનું પાકું વિરોધી બની ગયું હોય એવું લાગે છે.

જૂન ૧૭, ૨૦૧૫, Charleston, સાઉથ કેરોલીનામાં એક ચર્ચમાં આવા જ એક કોમવાદી અને રંગભેદીએ નવ લોકોને મારી નાખ્યા. રંગભેદ, કોમવાદ બુદ્ધિહીનતાનું પરિણામ છે. કહેવાતા ભણેલા ગણેલા લોકો પણ પ્રતિબુદ્ધિવાદી હોઈ શકે છે. દેશભક્તિ વખાણવા જેવી છે, પણ અંધ-દેશભક્તિ (hyper-patriotism) હું નથી માનતો કે વખાણવા લાયક હોય. કેટલાક અમેરિકનો અને મોટાભાગના કમજોર ભારતીયો બંને Hyper-patriotism થી પીડાય છે. જિંદગીમાં બંદુક પકડી નાં હોય એક સસલું એ માર્યું નાં હોય એવા ભારતીયો ખાસ દેશભક્તિ અને મારી નાખો કાપી નાખો ની વાતો કરતા હોય છે. ત્યારે મને હસવું આવે છે. મૂરખો લોહીની પિચકારી ઊડશે તો બેભાન થઈને ગબડી પડશો.. હહાહાહાહાહાહ

એક થડા(ગલ્લા) પર બેઠેલા વાણિયાની અહિંસા અને મહાવીરની અહિંસા વચ્ચે આભજમીનનો ફરક છે.

ટ્રેડિશનલ વેલ્યુસનાં વિરોધમાં ફૅક્ટ બેઝ સેક્સ એજ્યુકેશન આપવાનું ચૂકવાથી અમેરિકામાં ટીનેજરમાં પ્રેગનન્સીનું જોર ખૂબ વધ્યું છે. હું પહેલા પણ લખી ચૂક્યો છું. દુનિયાની બે સૌથી મોટી લોકશાહીઓ અમેરિકા અને ભારત બહુ ધાર્મિક છે. અને ધાર્મિક માન્યતાઓ ૯૦ થી ૯૯ ટકા ઇરેશનલ હોય છે, એમાં કોઈ બુદ્ધિ વાપરવાની હોતી નથી. ભણતર અને વૈજ્ઞાનિક સાક્ષરતાનો અંક અમેરિકામાં શરમજનક નીચો છે. તો ભારત અને મુસ્લિમ દેશોમાં તો વૈજ્ઞાનિક સાક્ષરતાનો અંક લગભગ ઝીરો છે. આપણા તો મિસાઇલ મેન તરીકે પ્રખ્યાત વૈજ્ઞાનિક આઠ ચોપડી ભણેલા પરમ મૂરખ સ્વામી પાછળ ગાંડા હોય. એવા વૈજ્ઞાનિકો દેશની યુવાન પેઢીને કયા આદર્શ શીખવશે? એમનું વર્તન યુવાનોને એવું જ અચેતનરૂપે શીખવશે કે ગમે તેટલા મહાન વૈજ્ઞાનિક બનો દેશના પ્રૅસિડેન્ટ બનો પણ એક અભણ મૂરખ અવૈજ્ઞાનિક ખ્યાલો ધરાવતા બાવાના પગમાં પડો. માબાપનું વર્તન જોઇને સંતાનો અચેતનરૂપે બધું શીખતા હોય છે. આવા સેલીબ્રીટીનું વર્તન જોઇને સમાજ શીખતો હોય છે. સમાજ શીખશે, સમાજના યુવાનો શીખશે કે કહેવાતા સ્કીલ્ડ લેબરની જેમ વૈજ્ઞાનિક બનો અને આઠ ચોપડી ભણેલા સમાજને બીમાર બનાવતી માન્યતાઓ ફેલાવતા બાવાના પગમાં પડો.

આપણા તો પીએમ શુદ્ધા બહુ સારા લીડર હોવા છતાં એન્ટી-ઈન્ટેલેકચ્યુઆલીઝમને સપોર્ટ કરતું વર્તન કરશે. પ્રતિબુદ્ધિવાદને અનુસરીને સુખડ-ઘીના દાન કરશે. જાણતા હોય પણ મોટાભાગની પ્રજા જ એન્ટી-ઈન્ટેલેકચ્યુઅલ હોય ત્યાં એને ખુશ રાખવા એશોઆરામ જેવા હરામખોરના પડખે ચડશે. પછી માઇક પકડી એશોઆરામ કહેશે કેવો સરસ મેળ પડ્યો. ધર્મસત્તા અને રાજસત્તા ભેગાં મળે એટલે પ્રજાનો બેડો પાર થઈ જાય. અલ્યા મૂરખ ધર્મસત્તા અને રાજસત્તા ભેગાં મળે તો પ્રજાનું સત્યાનાશ વળી જાય તેની તને ક્યાં ખબર છે? ‘હું તો કેદુ નો કેતો તો મારો શિવો મને મળી ગયો.. શિવો આજે દિલ્હીનાં દરબારમાં છે અને પોતાને સમર્થ સ્વામી રામદાસ જોડે સરખાવનાર જેલમાં. હહાહાહાહાહા

મૂળ તકલીફ છે પ્રજા એના બ્રેન ન્યુરોન્સ વાપરતી નથી, વિચારતી નથી, વિચારવાની પ્રક્રિયા એની સમજમાં જ આવતી નથી. કારણ વિચારવાની બારીઓ જ બંધ કરાવી દીધી હોય. કારણ જો પ્રજા વિચારે તો નેતા અને ધર્મનેતાઓનો ધંધો ચાલે જ નહિ.

કોમવાદ કે રેસિઝમ પ્રતિબુદ્ધિવાદ જ છે. કહેવાતા બુદ્ધિશાળી અને એડ્યુકેટેડ લોકો પણ કોમવાદી હોઈ શકે છે. એનિમલ બ્રેન હમેશાં કોમવાદી જ હોય. કોમવાદ બીજું કશું નહિ એક નાના પાયે સમૂહવાદ જ છે. કારણ મેમલ સમૂહમાં રહેવા જિનેટિકલી ઇવોલ્વ થયેલા છે. અને વસુધૈવ કુટુમ્બક એ લાર્જ-કોર્ટેક્સનો કૉન્સેપ્ટ છે કે આખી દુનિયા આપણો સમૂહ છે અને સર્વ સમાન છે. સામ્યવાદ, સમાજવાદ, આપણે કહીએ કે આપણે બધા સરખાં છીએ. એવરીવન ઇઝ ઇક્વલ. એક ઉચ્ચ આદર્શ ગણીએ તો સારી વાત છે.   Equality is an abstraction, and the mammal brain does not process abstractions. આપણા આવા અનેક આદર્શો અમૂર્ત વિચારણા હોય છે. અહિંસા પરમોધર્મ, વસુધૈવ કુટુમ્બકમ અને ઇક્વાલિટી જેવી અનેક અમૂર્ત વિચારણાઓને મેમલ બ્રેઈન પ્રોસેસ કરી શકતું નથી. તેની ભૂખ feel good પૂરતી હોય છે. જ્યાં જ્યાં સર્વાઈવલ દેખાય ત્યાં તે feel good કરતું હોય છે.

જેમ જેમ માનવી ઈન્ટેલેકચ્યુઅલ થતો જાય તેમ તેમ પોતાને વિશ્વમાનવ અને વસુધૈવ કુટુમ્બકમમાં માનતો થઈ જતો હોય છે. ઉમાશંકર જોશી પાછલી અવસ્થામાં પોતાને વિશ્વમાનવ તરીકે ઓળખાવતા. અને મહાવીર જેવા ઍક્સ્ટ્રીમ ઇન્ટેલિજન્ટ તો નાના જીવજંતુમાં પણ પોતાનો અહેસાસ કરતા હોય છે. મેમલ બ્રેન પર અભૂતપૂર્વ કાબૂ મેળવી લે તેને જ જીન કહેવાય અને એવો કાબૂ જેણે મેળવી લીધો હોય તેને જૈન કહેવાય. Mahavira was given the title Jīnā, or “Conqueror” (conqueror of inner enemies such as attachment, pride and greed). બુદ્ધનું પણ એવું જ હતું. તમામ જીવો પ્રત્યે કરુણા એમનો મંત્ર હતો. પણ આ બધું એનિમલ બ્રેન ધરાવતા માનવ જંગલમાં કામનું નહિ જો જીવવું હોય તો. ત્યાં પછી કૃષ્ણ કામ લાગે. પછી તે કહેશે નૈન્મ છીન્દંતી શસ્ત્રાણમ, નૈન્મ દહતી પાવકઃ તો મારો પછી જીવવું હોય તો. અને DNA જીવતા રાખવા હોય તો………

 

 

જય પિતાશ્રી… ફાધર્સ ડે નિમિત્તે લેખન સ્પર્ધા

પ્યારા મિત્રો,

પ્રતિલીપી નામની વેબ સાઈટ ગુજરાતી તેમજ ભાષાઓનાં સાહિત્યની ખુબ સારી સેવા કરી રહી છે. ફાધર્સ ડે નિમિત્તે એના પર લેખન સ્પર્ધા રાખવામાં આવેલી છે. પિતા વિષે જે પણ લખવું હોય તે લખીને મોકલી શકાય. મેં પણ એમાં ઝુકાવેલું અને ‘જય પિતાશ્રી’ નામનો લેખ મૂક્યો છે. ફિલોસોફીના ફડાકાને બદલે સીધા ફેક્ટ આપેલા છે. મારા તમામ વાચક મિત્રોને અહી આપેલી લીંક પર જઈ તે લેખ વાંચવા નમ્ર વિનંતી.. .   જય પિતાશ્રી  આ લીંક ખુલે એટલે Read For Free ઉપર ક્લિક કરવાથી આખો લેખ વાંચવા મળશે. 11657335_10205224016012654_1346490501_n

જ્ઞાનને શુદ્ધ જ્ઞાન રાખો એને ધર્મના લેબલની જરૂર નથી. (યોગા)

800px-Bhujangasana_Yoga-Asana_Nina-Melજ્ઞાનને શુદ્ધ જ્ઞાન રાખો એને ધર્મના લેબલની જરૂર નથી. (યોગા)

The US Patent and Trademark office has reportedly issued 150 yoga-related copyrights, 134 trademarks on yoga accessories and 2,315 yoga trademarks.

સૌથી વધુ યોગની પ્રેક્ટીશ કરતા હોય તો તે અમેરિકનો છે એવું મારું માનવું છે. એમને તે વાત જરાય નડતી નથી કે યોગની વ્યવસ્થિતપણે શોધ ભારતીયોએ કરેલી છે, અને તે ભારતીયો હિંદુ વિચારધારાને વરેલા હતાં. યોગ હિંદુ ફીલોસફીની છ મુખ્ય સ્કૂલ્સ માની એક સ્કૂલ છે. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મિમાંસા અને ઉત્તર મિમાંસા આમ છ હિંદુ તત્વજ્ઞાનની મુખ્ય શાખાઓ છે. સમજી લો કે ઉત્તર મિમાંસાથી ઈશ્વરભાઈ નામનો કોન્સેપ્ટ ઘૂસેલો છે. સાંખ્ય તદ્દન નિરીશ્વરવાદી હતું અને યોગ એની સાથે બહુ નજદીક હતો. એમાં જે પણ ઈશ્વર ઘુસ્યો હશે તે બહુ પાછળથી. મુર્ખ મુસલમાનો સાથે અજ્ઞાન હિન્દુઓને પણ ખબર નથી કે ભારતીય ફીલોસફીની છ સ્કૂલ્સમાં ઈશ્વર છેલ્લે ઘૂસેલો છે. યુજ ધાતુ પરથી યોગ શબ્દ બનેલો છે. યોગ મતલબ જોડવું. શરીર અને મન સાથે અદભુત જોડાણ કરવું અથવા તે જોડાણને સમજવું અને અમુક ક્રિયાઓ કરીને તે જોડાણ ને અદ્ભુત બનાવવું જેથી સર્વાઈવલ ઓફ ફીટેસ્ટનાં જમાનામાં સર્વાઈવ વધુ સારી રીતે થઈ જવાય તે પ્રક્રિયાને યોગ કહેવાય છે.

આધુનિક મેડીકલ સાયન્સની જેમ યોગ એક શુદ્ધ જ્ઞાન છે તેને ધર્મોના લેબલની જરાય જરૂર નથી તે પાપી પશ્ચિમના ક્રિશ્ચિયન લોકો ફનેટીક મુસલમાનો કરતા વધુ સારી રીતે જાણે છે, માટે આજે યોગ વિષય ૧૫૦ પેટન્ટ અમેરિકનો ધરાવે છે.

કેટલા હિન્દુઓને ખબર હશે કે યોગના આઠ અંગ છે? કે આઠ પ્રકરણ છે? કે યોગ નામની સીડીને આઠ પગથિયાં છે? હરિયાણાની ભાજપા સરકારના યોગના બ્રાંડ એમ્બેસેડર, યોગના વેપારી ગુરુ બાબા રામદેવ યોગની આઠ પગથીયાની સીડીના ફક્ત બે પગથિયાં આસન અને પ્રાણાયામ વિષે તમને માહિતી આપે છે. ફક્ત બે પગથિયાં જો આટલા લાભદાયી હોય તો આઠ પગથિયાં ચડીને ક્યાં પહોંચી જવાય?

યોગના આઠ અંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ.

બાબા રામદેવ પ્રાણાયામ અને આસનો જ શીખવાડે છે બાકી બીજા તેઓ અંગો વિષે તેઓ જાણતા જ હોય પણ સામાન્યજનને શીખવવાનું મુનાસીબ નહિ સમજતા હોય. કે એમાંથી અર્થોપાજન થાય તેવું લાગતું નહિ હોય.

યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર દ્વારા મદદ મળતા ધારણા, ધ્યાન અને સમાધિના પગથિયાં આસાનીથી ચડી શકાય.

પ્રાણાયામ શ્વાસોચ્છવાસની અદ્ભુત ટેકનીક છે. ઓક્સિજન વગર તો મુસલમાન પણ નહિ જીવી શકે અને પ્રાણાયામ ટેક્નિક ઓક્સિજન વધુમાં વધુ લેવાની ટેક્નિક છે. માછલી, કાચબો, ગાય, ભેંસ, ડુક્કર, હાથી કે માનવી, મુસલમાન કે હિંદુ, ખ્રિસ્તી કે પારસી, બૌદ્ધ કે જૈન, કે કોઈપણ હોય પાણીમાં તરતી વખતે ઓટ્મેટિક પ્લાવની પ્રાણાયામ કરે જ છે. તેમ જ લાંબુ દોડવાથી ઓટ્મેટિક ભસ્ત્રિકા પ્રાણાયામ થઈ જાય છે, ત્યારે કોઈ મુસલમાન એમ કહી નહિ શકે કે હું ભસ્ત્રિકા નહિ કરું કે સ્વિમિંગ પુલમાં પ્લાવની નહિ કરું, કારણ કોઈ હિન્દુએ પ્રાણાયામનાં વિવિધ નામ આપ્યા છે. ન્યુટને ગુરુત્વાકર્ષણ વિષે સમજ આપી તે પહેલા શું ગુરુત્વાકર્ષણ નહોતું? પતંજલિએ યોગ સુત્રો રચ્યા તે પહેલા શું યોગા નહોતો? અરે યોગા તો પ્રાણીઓ પણ કરે જ છે. સાપ કરે છે સ્ટાઈલને તો ભુજંગાસન નામ આપ્યું છે. એટલું કે એમને એના વિષે કોઈ વ્યવસ્થિત સમજ નથી.

આસનો સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ છે. હવે એને પશ્ચિમની સ્ટાઈલથી કરો કે ભારતીય સ્ટાઈલ કે ચાઇનીઝ સ્ટાઈલથી કરો શું ફરક પડે છે?

ચાઇનીઝ શાઓલીન, કુંગ ફૂ, કે જાપાનીઝ કરાટે હોય કે બીજા કોઈ પણ દેશની માર્શલ આર્ટ હોય યોગના આઠે આઠ અંગનું આક્રમક રૂપ છે. એમાં યમ છે નિયમ છે આસન છે પ્રાણાયામ છે અને ધ્યાન પણ છે સાથે સાથે સ્વબચાવ માટે આક્રમક રવૈયો એ લોકોએ ઉમેરેલો છે. અહિ આપણે ભારતીયોની ચૂક થઇ ગઈ આપણે સ્વબચાવ માટેનો આક્રમક રવૈયો યોગમાં ઉમેર્યો નહિ અને હશે તો  કાઢી નાખ્યો અને હજારો વર્ષ ગુલામ રહ્યા. આપણે યોગ સાથે ભક્તિ(સબમીશન) અપનાવી, ભક્તિ પાછળથી આવી, અને જે પણ આક્રમણકારીઓ આવ્યા શરણે થઇ ગયા. હજુ પણ શરણે થઇ જવાની ભાવના અકબંધ જ છે. ભક્તિ નબળા લોકોની માનસિકતા છે.

યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો છે.

યોગા પ્રાચીન ભારતે દુનિયાને આપેલી મહામૂલી ભેંટ છે. જેમ આધુનિક મેડીકલ સાયન્સનો વિકાસ ભલે યુરોપ અને ક્રિશ્ચિયાનિટીને હસ્તે થયો પણ આજે આખી દુનિયા એને કોઈ ધર્મના લેબલ લગાવ્યા વગર વાપરે છે અને ક્રીશ્ચિયાનિટી વાપરવા દે છે તેમ યોગા પણ વાપરવો જોઈએ. બાકીની દુનિયાના લોકો તો યેનકેન પ્રકારે વાપરે જ છે.

હવે જેમ તાવ આવે ત્યારે કોઈ ડોક્ટર જોડે જઈએ, વૈદ્ય જોડે જઈએ કે હકીમ જોડે જઈએ તે આપણી ઈચ્છાનુસાર હોય છે તેવું યોગા વિષે પણ હોવું જોઈએ કોઈને ફરજ પાડી શકાય નહિ કે વૈદ્ય જોડે જ જાઓ કે હકીમ જોડે જાઓ કે ડોક્ટર જોડે જ જાઓ. Janusirsasana_Yoga-Asana_Nina-Mel

ચરૈવેતિ ચરૈવેતિ

ચરૈવેતિ ચરૈવેતિfaithful-feet-keep-walking-blog-pic

ઐતરેય બ્રાહ્મણ ગ્રંથમાં બહુ સરસ મંત્ર-ગીત છે.

ॐ नाना श्रान्ताय श्रीरस्ति, इति रोहित शुश्रुम।

पापो नृषद्वरो जन, इन्द्र इच्चरतः सखा। चरैवेति चरैवेति॥

पुष्पिण्यौ चरतो जंघे, भूष्णुरात्मा फलग्रहिः।

शेरेऽस्य सवेर् पाप्मानः श्रमेण प्रपथे हताः। चरैवेति चरैवेति॥

आस्ते भग आसीनस्य, ऊध्वर्स्तिष्ठति तिष्ठतः।

शेते निपद्यमानस्य, चराति चरतो भगः। चरैवेति चरैवेति॥

कलिः शयानो भवति, संजिहानस्तु द्वापरः।

उत्तिष्ठँस्त्रेताभवति, कृतं संपद्यते चरन्। चरैवेति चरैवेति॥

चरन् वै मधु विन्दति, चरन् स्वादुमुदुम्बरम्।

सूयर्स्य पश्य श्रेमाणं, यो न तन्द्रयते चरन्। चरैवेति चरैवेति॥

(ऐतरेय ब्राह्मण ७.१५)

આનો ભાવાર્થ એવો છે.

હે ! રોહિત સાંભળ, મેં એવું જાણ્યું છે કે થાક્યા વગર જે શ્રમ કરે છે તે શ્રીમુખી, બાકી કર્મરત નાં હોય તેવો શ્રેષ્ઠજન પણ દુઃખી. આ શ્રી શબ્દ સ્ત્રી વાચક છે. શ્રી નો અર્થ થાય લક્ષ્મી. અથવા લક્ષ્મીજીનું બીજું નામ શ્રી છે, માટે શ્રી મંજુલાબેન કે શ્રી સવિતાબેન લખીએ તે બરોબર છે પણ શ્રી મગનભાઈ કે શ્રી છગનભાઈ લખીએ તે ખરેખર ખોટું છે. શ્રી. મગનભાઈ લખીએ તો બરોબર છે. શ્રી પછી પૂર્ણવિરામ મૂકવું જરૂરી છે. એટલે જે થાક્યા વગર શ્રમ કરે તેની પાસે શ્રી હોય તે સ્વાભાવિક છે. નિત્ય ગતિશીલતા જ ઇન્દ્ર્કર્મ કહેવાય માટે ચાલતા રહો ચાલતા રહો. આ ઇન્દ્ર કદી પગ વાળીને બેઠાં નથી. કાયમ યુદ્ધોમાં જ રત રહેતા. ક્યારેક અસુરોને તે ભગાડતા તો ક્યારેક અસુરો એમને ભગાડતા.

જે હમેશાં ચાલતા રહે તેને ફળફળાદિ પ્રાપ્ત થતા રહે. એના ખરાબ કામ પણ શ્રમનાં પથ ઉપર નષ્ટ થઈ જાય. અહીં ખરાબ કામ એટલે નિષ્ફળતા સમજવું બહેતર છે. કારણ દરવખતે સફળતા મળે નહિ પણ જે હમેશાં ચાલતો રહે કામ કરતો રહે તેને મળતી નિષ્ફળતા છતાં પણ કર્મ કરતો રહે, શ્રમ કરતો રહે તો એક દિવસ સફળતા મળવાની જ છે. આ ચાલતા રહેવું મતલબ કાયમ બે પગે ચાલતા રહેવું તેવો સ્થૂળ અર્થ કરવા જેવો નથી. ચાલતા રહેવું મતલબ કર્મ કરતા રહેવું. કામ કરતા રહેવું.

આપણા બાવા સમાજે ઐતરેય બ્રાહ્મણ ગ્રંથના આ મહામૂલાં ગીતની બહુ મોટી અવહેલના કરી છે. ગીતાના કર્મણ્યે વાધિકારસ્તે નહિ પણ અકર્મણ્યે વાધિકારસ્તે એ લોકોએ અપનાવ્યું છે. આ બાવાઓ કોઈ કામ કરતા નથી. કોઈ શ્રમ કરતા નથી. કોઈ પ્રોડક્ટિવ કર્મ કરતા નથી. આલસ્યશિરોમણી છે આ બાવાઓ. એમને મોક્ષ મેળવવો છે અને એના બિલ પ્રજાને માથે મારે છે. વેદિક કાળમાં બાવા સમાજ હતો જ નહિ. ગુરુઓ પત્ની અને બાળબચ્ચાં વાળા જ હતા. અરે અમુક ગુરુઓ તો એક કરતા વધારે પત્નીઓ રાખતા હતા. જ્યારે તમામ રીતે રિટાયર થઈ જવાય ત્યારે જ સંન્યાસ લેવામાં આવતો. અને તે યોગ્ય જ હતું. અત્યારે તો નાની ઉંમરમાં સંન્યાસ લઈને અકુદરતી કાર્યો કરવામાં આવી રહ્યા છે.

મૂળ તો આ પાંચ શ્લોકના ગીતનો આ ત્રીજો શ્લોક જ વધુ પ્રખ્યાત છે. બેસી રહેનારનું ભાગ્ય બેસી રહે છે. ઊભા રહેનારનું ભાગ્ય ઊભું રહે છે, સૂઈ રહેનારનું ભાગ્ય સૂઈ રહે છે અને ચાલનારનું ભાગ્ય ચાલે છે. ભાગ્યવાદે આ દેશને બહુ મોટું નુકસાન કરેલું છે. ભાગ્યમાં જે હશે તે થશે તે માનસિકતા આ દેશના વિકાસ આડે બહુ મોટી દીવાલ બનીને ઊભી રહેલી છે. ભાગ્યમાં જે હશે તે થશે અને મળશે તે માનસિકતા એ દેશને આલસ્ય શિરોમણિ બનાવ્યો છે. કામ કરવાની ક્યાં જરૂર છે? ભાગ્યમાં જે હશે તે જ મળશે.

આ શ્લોક શું કહે છે તે જુઓ? ચાલનારનું ભાગ્ય ચાલે છે. જો તમે શ્રમ નહિ કરો, કર્મ નહિ કરો તો તારું ભાગ્ય પણ આરામ કરશે. સૂતેલાનું ભાગ્ય તો સૂઈ જ રહેવાનું છે તે સ્વાભાવિક છે. પણ અમુક લોકો એવા પણ હોય છે. ઊભા તો થઈ જાય છે પણ પછી આગળ ચાલતાં ગભરાતા હોય છે. કોઈ પણ નવી જગ્યાએ જાઓ એટલે મનમાં થોડો ડર તો લાગે જ. પરિચિત વસ્તુથી આપણને કોઈ જોખમ લાગે નહિ. એવું જ કર્મનું પણ છે. કોઈ નવું કર્મ કરવું હોય તો સફળતા મળશે કે અસફળતા શું ખબર? એટલે અસફલતાનો ડર લાગતો હોય છે અને અસફળતા નાં મળે માટે આપણે કોઈ નવું કર્મ શરુ કરતા ડરીએ છીએ અને ઊભા જ રહીએ છીએ એટલે ત્યાં આપણું ભાગ્ય પણ સ્થિર ઊભું જ રહેવાનું. ઘણીવાર તો આપણે ચાલીએ ખરા પણ ત્રણ રસ્તા જો આવી ગયા તો ખલાસ. હવે કઈ બાજુ જઈશું તો સફળતા મળશે, મંજિલ મળશે ખબર નથી. એટલે ત્રણ રસ્તે ઊભા થઈ જનારા માટે ગીતમાં સંશયાત્મા વિનશ્યતિ કહેલું છે. અરે ચાલો તો ખરા લાગે કે ખોટો રસ્તો છે, તો એક તો સમજ પડી જ ગઈ કે આ લીધેલો રસ્તો ખોટો જ છે. પણ ઊભા જ રહીશું ક્યારેય પહોચી નહિ શકીએ. માટે ચરૈવેતિ ચરૈવેતિ…

આ બાવાઓએ ભારતને એમના સ્વાર્થ માટે હમેશાં ખોટું શીખવ્યું છે માટે બાવામુક્ત ભારત મારું સપનું છે. આપણા અસલી સાહિત્યને પણ સાચી રીતે શીખવ્યું નથી.

સૂતેલી અવસ્થામાં કળિયુગ છે. બેસવાની અવસ્થામાં દ્વાપર છે, ઊભા થતાં ત્રેતાયુગ બને, અને ચાલતા સતયુગ સિદ્ધ થાય છે. એક બહુ મોટી ગલત ધારણા છે કે સારો યુગ સતયુગ પૂરો થઈ ગયો. પછી દ્વાપર અને ત્રેતા પુરા થઈને હવે ખરાબમાં ખરાબ કલિયુગ આવી ગયો છે. ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ જુઓ તો પહેલા માનવી આદિમાનવ હતો ત્યારે ક્યાં આટલી સગવડ હતી? સર્વાઈવ થવા હમેશાં લડ્યા કરવું પડતું. ગુફાઓમાં રહેવું પડતું. જંગલી પ્રાણીઓનો સતત ભય. તમને ખબર છે? તાજું જન્મેલું બાળક દર બે કલાકે જાગે છે અને રડે છે? બીજું તમને પોતાને અંદાજ નહિ હોય પણ આપણે પોતે દર બે કલાકે જાગતા હોઈએ છીએ. પડખું ફેરવીને ફરી સૂઈ જતા હોઈએ છીએ. જે આપણને સવારે લગભગ યાદ પણ હોતું નથી એવું લાગે કે મસ્ત આઠ કલાકની સળંગ ઊંઘ ખેંચી નાખી છે. દર બે કલાકે જાગવાનું આપણા DNA માં છે. જ્યારે આપણે ગુફાઓમાં રહેતા ત્યારની આદત છે. ચેક કરવા કે સલામત છીએ કે નહિ? કોઈ જંગલી પશુ આસપાસ આપણો શિકાર કરવા બેઠું તો નથી ને? દર બે કલાકે જાગીને ચેક કરવાથી સર્વાઈવલ રેટ ઊંચો જાય. આ ઇન્ફર્મેશન આપણા બાળકોને DNA દ્વારા ઓટ્મેટિક મળેલી હોય છે માટે તેઓ દર બે કલાકે જાગીને રડતા હોય છે. તે સમયે ૩૦-૩૫ વર્ષથી વધારે આયુષ્ય હતું નહિ. એવરિજ આયુષ્ય તો હમણાં વધ્યું છે. મેડિકલ સાયન્સના સતયુગ દ્વારા.

આપણે ત્યાં દેવપોઢી અને દેવઊઠી અગિયારસ વચ્ચે કોઈ સારા લગ્ન જેવા કામ થતા નહિ. હજુ મોટાભાગના લોકો તે પાળે છે. આ બે અગિયારસ વચ્ચે ભયંકર ચોમાસું હોય. નદીનાળાં ઊભરાતાં હોય. રસ્તાઓ કાદવ કીચડથી ભરેલા હોય. એવામાં લગ્ન જેવા પ્રસંગ ઊજવવા કેટલી તકલીફ? સગવડો ક્યાં હતી તે સમયે? તો ખરેખર સતયુગ તો અત્યારે છે. કે માનવીએ ચાલતા રહીને નવા કર્મ કરીને, રિસર્ચ કરીને, નવી નવી શોધો કરીને સતયુગ બનાવ્યો છે. માટે ચાલો તો સતયુગ બાકી ઊંઘો તો કલિયુગ જ છે. આપણે સતયુગ પૂરો થઈ ગયો છે સમજી ચાલવાનું બંધ કરી આળસુ બની ગયા અને પશ્ચિમના લોકો ચાલી ચાલીને સતયુગમાં સરી પડ્યા. સારું છે આપણને એમની નકલ કરવા દે છે, એમની શોધેલી વસ્તુઓ વાપરવા દે છે.

ચાલતાં ચાલતાં મધ મળે છે, ચાલતાં ચાલતાં સ્વાદિષ્ટ ઉમરાનું ફળ મળે છે. સૂર્યની શોભા જુઓ કે જે ચાલવામાં ક્યારેય આળસ કરતો નથી.

આ ચાલતાં ચાલતાં મધ મળે છે તે લખવાનું ખાસ કારણ છે. ઉમરાનું ફળ તો માનો બધા ફળોનું પ્રતીકાત્મક હોઈ શકે. ખેતી કરવાનું આશરે દસેક હજાર વર્ષથી શરુ થયું છે. તે પહેલા લાખો વર્ષ સુધી માનવીનો ખોરાક માંસ અને ફળફળાદિ રહેલો હતો. માંસમાં પ્રોટીન વધુ હોય શર્કરા એમાંથી બહુ મળે નહિ. આમ તો જરૂરી શર્કરા ફળોમાંથી મળી રહે. માનવી લાખો વર્ષ લગી પ્રોટીન વધુ લેતો અને મહેનત ખૂબ કરતો માટે પાતળો અને સપ્રમાણ રહેલો છે. ખેતી શરુ થઈ ઘઉં ચોખા જેવા અનાજ ખાવાનું વધુ શરુ થયું એમાં પ્રોટીન ઓછું અને શર્કરા વધુ હોય છે. એટલે ખેતી શરુ થઈ તે પહેલા શર્કરા માટે ફળો પર વધુ આધાર રાખતો. હવે ફળો પણ બારેમાસ મળે તેવું બને નહિ. દરેકની ખાસ સિઝન હોય, પછી મળે નહિ. એટલે માનવી માટે વધારાની શર્કરા મેળવવાનું સાધન હતું મધ. આજે પણ આદિમ અવસ્થામાં જીવતા હન્ટર-ગેધરર સમાજોનો અભ્યાસ કરતાં એવું જણાયું છે કે જે પુરુષ મધ મેળવવામાં ઍક્સ્પર્ટ હોય તેને સ્ત્રી પહેલો પસંદ કરે છે. મતલબ સ્ત્રી પામવા માટે મધ પાડવામાં કાબેલ હોવું એક વધારાની ક્વૉલિટી ગણાતી. મધ પાડવા સહેલા હોતા નથી. એક તો ઝાડ પર ઊંચે ચડવું પડે અને કાતિલ ડંખ મારતી મધમાખીઓને સહન કરવી પડે. સ્ત્રી એટલાં માટે આવા મધપાડું નિષ્ણાંતોને પહેલાં પસંદ કરતી કે તેમના બાળકોને મધ ખવડાવી વધારાની શર્કરા પૂરી પાડી શકે. માટે ચાલતાં ચાલતાં મધ મળે. મધ ઘરમાં બેસી રહેવાથી મળે નહિ. અને મધ ના મળે તો સ્ત્રી મળવાના ચાન્સ થોડા ઓછા થઈ જાય. સૂરજ મહારાજ વિષે તો સહુ જાણે છે સતત ચાલતાં જ રહે છે તે નાં ચાલે તો આપણું અસ્તિત્વ જ ક્યાંથી હોય?

untitledવૈજ્ઞાનિકો માને છે, અને એમને અમુક પુરાવા મળ્યા છે તે પ્રમાણે માનવી, કોઈ કૉમન પૂર્વજોમાં કોઈ જિનેટિક ફેરફાર થવાથી લાખો વર્ષ પહેલા ચિમ્પેન્ઝી જેવા કપિમાનવ કરતા થોડો જુદો ઉત્ક્રાંતિ પામ્યો. શરૂમાં લાખો વર્ષ વૃક્ષો ઉપર જ રહ્યો. આમ તો વૃક્ષ ઉપરથી નીચે ઊતરી પાછો ઉપર ચડી જતો હશે. આવું અર્ધ વાનર અર્ધ માનવ જેવું લગભગ ૩૦ લાખ વર્ષ જૂનું ફોસિલ આફ્રિકામાંથી મળેલું જ છે. પણ આવા આપણા પૂર્વજોનાં એકાદ જુથે પાછું વૃક્ષ પર રહેવા જવાના બદલે જમીન પર રહેવાનું નક્કી કર્યું હશે. પછી ખોરાક અને સલામત રહેઠાણની શોધમાં આગળ વધવાનું ચાલુ કર્યું હશે. ત્યારથી આ ચરૈવેતિ ચાલુ થયું છે. જો આપણા એ પૂર્વજો વૃક્ષ ઉપરથી હેઠાં ઊતર્યા જ નાં હોત તો આજે આપણે આફ્રિકામાં કોઈ ઝાડ ઉપર હુપાહુપ કરતા હોત.

વૈજ્ઞાનિકો માને છે કે શરૂઆતના હજારો વર્ષ દરમ્યાન માનવી દર વર્ષે આશરે એક માઈલ આગળ ધપ્યો છે. આમ તો ખોરાક અને શિકારની શોધમાં માનવી માઈલો સુધી રોજ દોડતો જ હતો. બીજા પ્રાણીઓ ભલે માનવી કરતા વધુ તેજ ગતિએ દોડતા હશે પણ સતત એકધારું લાંબું દોડવાની ક્ષમતામાં માનવી બહુ આગળ છે. શિકારી પ્રાણીઓ વાઘ, વરુ કે ચિત્તા ઝડપી ખરા પણ થોડા મીટર પછી એમની શક્તિ ખલાસ થઈ જાય. આમ માનવી રોજ માઈલો સુધી દોડતો હશે પણ પાછો ઘેર આવી જતો હશે. પણ વસવાટ માટે માનવી વર્ષે એક માઈલ આગળ વધ્યો છે તેવું વૈજ્ઞાનિકો માને છે. આમ આફ્રિકામાં ઉત્ક્રાંતિ પામેલો માનવી મિડલ ઇસ્ટ થઈ પહેલો ભારતમાં આવી ગયેલો અને સીધો દરિયા કિનારે કિનારે આફ્રિકા જેવું લગભગ હવામાન ધરાવતા દક્ષિણ ભારત પહોચી ગયેલો. ત્યાંથી પૂર્વોત્તર ભારત થઈ ઇન્ડોનેશિયા પહોંચી ગયેલો., અને ત્યાંથી પછી ઓસ્ટ્રેલીયા. બીજી કોઈ ટુકડી મધ્ય એશિયા થઈને યુરોપ પહોચી પણ ઓસ્ટ્રેલીયા કરતા માનવી યુરોપમાં બહુ મોડો પહોંચેલ.

માનવી વૃક્ષ પરથી હેઠે ઊતર્યા પછી સતત ચાલતો જ રહેલો છે. ચાલતા રહેવું આપણા DNA માં જ છે. આજે પણ જ્યારે કોઈ મૂરખ એવું કહે કે તમે પરદેશ કેમ ગયા છો? ત્યારે મને તેના અજ્ઞાન ઉપર દયા આવે છે. અરે મૂરખ તારા બાપદાદાએ ચાલતા રહેવાનું રાખ્યું જ નાં હોત તો તું હજુ આફ્રિકામાં કોઈ ઝાડ પર હુપાહુપ કરતો હોત.

નોંધ :- પ્યારા મિત્ર ડૉ હિતેશ મોઢાનો ખાસ આભાર માનવાનો કે જેઓએ ઉપરના ઐતરેય બ્રાહ્મણનાં શ્લોકનું સરળ ગુજરાતી ભાષાંતર ઉપલબ્ધ કરાવી આપ્યું.

 

 

 

 

પશ્ચિમના ડે અને તહેવારો પ્રત્યે કકળાટ શાને?

images65W0PFCT પશ્ચિમના ડે અને તહેવારો પ્રત્યે કકળાટ શાને?

મધર્સ ડે, ફાધર્સ ડે, વૅલન્ટાઇન ડે, ટીચર્સ ડે જેવા અનેક દિવસો પશ્ચિમના જગતમાં ઊજવાય છે, જે હવે ભારતમાં પણ ઉજવવાનું શરુ થઈ ગયું છે. પશ્ચિમના ક્રિસમસ જેવા તહેવારો પણ આપણે ઊજવવા લાગ્યા છીએ. દુનિયા હવે નાની થતી જાય છે. પહેલાં તો મુંબઈ કોઈ કમાવા જાય તો પણ વિદેશ ગયા હોય તેવું લાગે. મારું બચપણ વિજાપુરમાં બારોટવાસમાં ગુજરેલું. અમારા વિજાપુરના ઘણા બારોટો મુંબઈમાં ધંધોપાણી કરતા. વર્ષમાં એક વાર એકાદ મહિનો ઘેર આવતા. જાણે વિદેશથી કોઈ મહેમાન આવ્યા હોય તેવો એમનો ઠાઠમાઠ રહેતો. ટૂંકમાં મુંબઈ તે સમયે વિદેશ ગણાતું. પણ હવે સવારે મુંબઈ જઈ રાત્રે ઘેર આવવું હોય તો આવી જવાય. ટૂંકમાં દુનિયા હવે બહુ નાની થતી જાય છે. હું વિજાપુર રહેતો ત્યારે ભાદરવા મહિનામાં ગણેશ ચતુર્થી આવતી ત્યારે મારા મધર લાડુ બનાવતા. બાકી એનો કોઈ ઉત્સવ જોવા મળતો નહિ. પહેલીવાર દસમાં ધોરણ પછી ૧૯૭૧માં અગિયારમાં ધોરણમાં વડોદરા ભણવા આવ્યો ત્યારે ગણેશોત્સવ જોયો. ત્યારે અચરજ પામેલો. હવે ગણેશોત્સવ આખા ગુજરાતમાં ફેલાઈ ગયો છે. મને ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતમાં ઉતરાણ પર પતંગ ચગાવવાનું જોર હતું તેટલું સૌરાષ્ટ્રમાં નહોતું. સ્કૂલમાં ૨૫ ડિસેમ્બર નાતાલની રજા પડતી એટલી મજા, બાકી ક્રિસમસ એટલે શું કોણ જાણે?

ટૂંકમાં તહેવારો ઊજવવા એમાં ખોટું શું છે? આપણે ઉત્સવ ઘેલા છીએ જ એમાં જેના મૂળ ઉત્સવ હોય તે લોકો શું કરે? હવે મહારાષ્ટ્રીયન ભાઈઓ તમને થોડી ના પાડવાના હતા કે ગણેશોત્સવ અમારો તહેવાર છે તમે ગુજરાતીઓ મનાવશો નહિ? એમ હવે તમે ક્રિસમસ મનાવો કે પશ્ચિમના બધા ‘ડે’ મનાવો તો પશ્ચિમના લોકો થોડા મનાઈહુકમ મેળવશે? ગણેશોત્સવ મનાવવાથી જેમ ગુજરાતી અસ્મિતાનો નાશ નથી થઈ જતો તેમ ક્રિસમસ મનાવવાથી ભારતીય સંસ્કૃતિનો નાશ કઈ રીતે થઈ જાય? દરેક સંસ્કૃતિમાં જે તે વરસના અંતે એક તહેવાર મનાવવો જોઈએ એ બહાને ઘરમાં સાફસફાઈ થઈ જાય, જુના વરસની વિદાય અને નવા વરસને આવકારો અપાઈ જાય તેવા રિવાજ હોય જ છે. હવે વરસના અંતે બે વાર એવી ઉજવણી જરૂરી નથી હોતી અને કરો તો પણ તમારા ખર્ચે અને જોખમે કરો એમાં બીજાને શું? પશ્ચિમના લોકો વરસના અંતે ક્રિસમસ મનાવે પછી દિવાળી નો મનાવે. કદાચ ડિપ્લોમસી તરીકે કોઈ મનાવતું હોય તો હાજર રહે પણ ખરા. પણ તમને વરસના અંતે બે તહેવાર ઊજવવા જ હોય તો ઊજવો.

પશ્ચિમના લોકો આપણને જરાય ફરજ પાડતા નથી કે તેમના ‘ડે’ અને તહેવારો ઊજવો. આપણે જે ઊજવીએ છીએ તે આપણી મરજીથી ઊજવીએ છીએ. પણ જ્યારે જ્યારે આવા તહેવારો કે દિવસો ભારતમાં ઊજવાય ત્યારે એક બહુ મોટો વર્ગ એનો વિરોધ કરવા નીકળી પડે છે. આપણા ઘરનો છોકરો પાડોશીના છોકરા જોડે ઝગડી પડે ત્યારે આપણા છોકરાનો વાંક હોય છતાં આપણને પાડોશીના છોકરાનો જ વાંક દેખાય તેવું આમાં પણ છે. પશ્ચિમના તહેવારો ઊજવીએ છીએ આપણે પણ ગાળો ખાય છે પશ્ચિમના લોકો. એક મિત્રે લખ્યું કે મૂળ અમેરિકન આદિવાસીઓ હતા ત્યાં કોઈ સંસ્કૃતિ જ નહોતી. માયા, એઝટેક અને ઇન્કા નામની ગ્રેટ સંસ્કૃતિઓ ત્યાં હતી. ઈજીપ્ત જેવા પિરામિડ પણ આ લોકોએ બનાવેલા છે. ત્યાર પછી યુરોપિયન આવ્યા તો તેઓ પોતપોતાની સંસ્કૃતિઓ સાથે લઈ ને જ આવ્યા હોય તે સ્વાભાવિક છે.

માતૃદેવો ભવઃ અને પિતૃદેવો ભવઃ કહેનારા દેશમાં નદીઓ અને ગાયોને પણ માતા માનીએ છીએ, છતાં આપણી નદીઓ અને ગાયોનો શું હાલત છે તે સહુ સારી રીતે જાણે છે. પ્લાસ્ટિક ખાઈને પેટ ભરતી ગાયો અને માતા ગંગાનું પાણી પીવા તો ઠીક સ્નાન કરવા લાયક પણ નથી એવો સરકારી રિપોર્ટ છે. માતૃદિવસનાં દિવસે અહીં જાણે કોઈ ખરાબ કામ થતા હોય તેમ લોકો વખોડવા બેસી જાય છે. આ દિવસે માતાને કાર્ડ આપશે, ફૂલ આપશે, અને બહાર જમવા લઈ જશે. એમાંનું થોડું આપણા યુવાનો કરે તો એમાં ખોટું શું છે? રોજ રોજ તો તમે માળા લઈને માતૃદેવો ભવઃ રટવા બેસવાના નથી. આખો દિવસ તો માતાના પગ આગળ બેસી રહેવાના નથી ભક્તિભાવથી તરબતર થઈને… એનું ઋણ ચૂકવવા કે એનો આભાર વ્યક્ત કરવા એકાદ દિવસ એને કામકાજમાં રજા આપી જમવા બહાર લઈ જાઓ તો એમાં ખોટું શું છે? આપણે માતૃદેવો ભવઃ કહીને માતાને ૨૪/૭/૩૬૫ કામકાજ કરવા દઈએ છીએ કોઈ દિવસ રજા આપતા નથી. આમ તો તમે માનો છો કો પશ્ચિમના લોકો પાપી છે કોઈ રિલેશનમાં માનતા નથી તો મધર ડે મનાવી માતાનું બહુમાન આ પાપીયા કરે છે તો આપણે ખુશ થવું જોઈએ કે ના આ લોકોમાં પણ થોડું હૃદય જેવું છે.

એવું નથી હોતું કે આપણી સંસ્કૃતિ તદ્દન ખરાબ હોય કે મહાન જ હોય તેમ પશ્ચિમની સંસ્કૃતિ પણ તદ્દન ખરાબ કે મહાન હોય. દરેકમાં પોતપોતાની ખામીઓ અને ખૂબીઓ હોય જ છે. પણ આપણા લેખકો, પત્રકારો સામાન્ય લોકોને ખોટેખોટું લખીને ગેરમાર્ગે દોરતા હોય છે. અને લખેલું વંચાય તેમ સામાન્ય જન લખેલું સાચું માની લેવા ટેવાયેલા હોય છે. એમને એવું જ હોય કે કોઈ લેખક લખે એટલે તે સાચું જ હોય. બુદ્ધિશાળી લોકો પણ બહુ વિચારતા હોતા નથી અને સાચું માની લેવા ટેવાયેલા હોય છે. એક સીધો સાદો સાચો દાખલો આપું. એક ફેમસ ગુજરાતી ન્યૂઝ પેપરના એક કોલમ લેખકે લખ્યું કે ઈન્દીરા ગાંધી અને એમના પતિ ફિરોઝ ગાંધી એટલાં માટે છૂટા પડ્યા કે ફિરોઝ ગાંધી અને એમની સાસુ કમલા નહેરુ મતલબ ઇન્દિરાના માતા વચ્ચે પ્રેમ સંબંધ ચાલતો હતો અને તે ઈન્દીરા કોઈ સમયે જોઈ ગયેલા. સાસુ જમાઈ વચ્ચે પ્રેમ સંબંધની વાત વાંચી મારા એક બહુ સારા મિત્ર જેઓ પોતે લેખક છે તે સાચું માની ગયા અને એમણે પ્રતિભાવ આપ્યો કે મોટા લોકોનાં મોટા પોલ હોય. મેં એના વિષે આખો આર્ટિકલ લખીને મારા બ્લોગમાં મૂક્યો. સત્ય એ છે કે કમલા નહેરુના મરી ગયા પછી દસ વર્ષ પછી ઈન્દીરા અને ફિરોઝ ગાંધીના લગ્ન થયેલા.

‘કર્મનો નિયમ’ લખીને ફેમસ થઈ ગયેલા હીરાભાઈ ઠક્કર નામના લેખકે એમના ‘મૃત્યુનું મહાત્મ્ય’ નામના બીજા પુસ્તકમાં બહુ મોટું ગપ્પું મારેલું કે અમેરિકામાં લોકો ઘરડા થાય એટલે માથામાં ગોળી મારીને મારી નાખે અથવા ઝેર આપીને મારી નાખે આને મર્સી કિલિંગ કહેવાય. હવે જે લોકો ભક્તિભાવથી હીરાભાઈને વાંચતા હોય તેમના મનમાં એવી જ છાપ પડે કે અમેરિકન એટલે ક્રૂર ઘરડા લોકોને મારી નાખે. એના વિષે પણ મેં એક આખો લેખ લખીને મારા બ્લોગમાં મૂકેલો કે મર્સી કિલિંગ કોને કહેવાય. અમેરિકા વિષે કે પશ્ચિમની સંસ્કૃતિ વિષે તદ્દન ખોટું ચિત્રણ આપણી સામે થતું હોય છે. અમેરિકનો એટલે ક્રૂર, સેક્સ મેનીયાક, અમેરિકામાં તો રસ્તે જનારને પણ સેક્સ કરવા વિષે બેધડક પૂછી શકાય. અમેરિકામાં તો ગમે તેની સાથે ગમે ત્યારે હાલતા ચાલતા રસ્તે ગમે ત્યાં સેક્સ કરી શકાય. લોકો સાવ નાગા કપડા પહેર્યા વગર જ ફરતા હશે. અમેરિકન સ્ત્રીઓ જાણે તમારા પૂછવાની રાહ જોતી હોય કે પૂછો એટલે તરત નાગલી થઈ ને તમારી સાથે સૂઈ જાય. અમેરિકામાં તો છોકરા ૧૫ વર્ષે ઘર છોડી બહાર જ જતા રહે. નાં જાય તો માબાપ જ કાઢી મૂકે.

સત્તાવાર રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં ચાર મિલયન એટલે ૪૦ લાખ લોકો સંયુક્ત કુટુંબમાં રહે છે જેમાં આશરે ત્રણ જનરેશન જોડે રહેતી હોય છે. ભણવામાં રસ નાં ધરાવતા હોય તેવા છોકરા ૧૭-૧૮ વર્ષે જૉબ પર લગી જતા હશે. એમાંના પણ બધા પોતાના ઘર છોડી દેતાં નથી. અમેરિકાની હજારો યુનિવર્સિટીઓમાં ભણતા લાખો છોકરાંઓનાં ભણવાના તોડી નાખે તેવા ખર્ચા માબાપ વેઠતા જ હોય છે. ૧૭ વર્ષે ઘર છોડી નોકરી કરી તમે જાતે ભણી ના શકો. આઠ કલાક નોકરી કરો તો ભણો ક્યારે? અને પાર્ટ ટાઈમ નોકરી કરો તો તેટલી આવકમાં શું ભણો? ફૂલ ટાઈમ ભણો તો જ સરકારી આર્થિક સહાય મળે છે. હવે ફૂલ ટાઈમ ભણો તો ચાલો ભણવા માટે આર્થિક સહાય મળે તો ખાવા પીવાનું શું? આર્થિક સહાય માટે પણ અમુક ધારાધોરણ જોઈએ. નહિ તો વર્ષે ૨૦-૪૦ હજાર ડોલર્સ ફી ભરીને ભણવું પડે. ટૂંકમાં માબાપની સહાય હોય જ છે નહિ તો અમેરિકાની તમામ કૉલેજો આપણે માનીએ છીએ તેમ હોય તો બંધ કરી દેવી પડે. ભણવામાં બિલકુલ રસ નાં હોય તેવા છોકરા અહીં બેસી રહી માબાપ ઉપર બોજ બનતા નથી જૉબ પર લાગી જતા હોય છે, તો એમાં ખોટું શું છે?

૧૭ વર્ષે જે દેશના તમામ છોકરાં ઘરબાર છોડી સ્વછંદ બની જતા હોય તો એ દેશ આજે વિજ્ઞાનમાં સર્વોચ્ચ બની મહાસત્તા બની જ કેવી રીતે શકે? સ્વચ્છંદતાની આપણી વ્યાખ્યા જ અલગ છે. બીચ ઉપર બીકીની પહેરીને ફરતી છોકરીમાં આપણને સ્વછંદતા લાગે કારણ આપણે બંધ બાથરૂમમાં પણ કપડા પહેરીને સ્નાન કરવાવાળી પ્રજા છીએ. અહીં બીચ ઉપર ૨૦ વર્ષની યુવાન બીકીની પહેરેલી દીકરી અને ૪૦ વર્ષની લગભગ યુવાન જ દેખાતી બીકીની પહેરેલી પત્ની જોડે ૪૨ વર્ષનો અમેરિકન પુરુષ આરામથી ફરતો જોઈ આપણા ભવાં ચડી જાય. સાલા, નફ્ફટ, નાગા, બેશરમ નરકમાં જવાના એવા વિચારો આવી જાય. આ આપણા ચશ્માં છે. આપણે અંધારી રાત્રે પણ ચશ્માં પહેરીને ફરીએ તો પછી શું દેખાય?

આપણો જીવનને જોવાનો અને મૂલવવાનો નજરિયો જ અલગ છે. આપણા ૮૦ વર્ષના માબાપ એમના ૬૦ વર્ષના દીકરા જોડે એવી જ અપેક્ષા રાખતા હોય કે તે હંમેશા એમને પૂછી ને જ પાણી પીવે. આપણે મરીએ ત્યાં સુધી આપણા સંતાનોને સ્વતંત્રતા આપવા ઇચ્છતાં હોતા નથી. છોકરાઓ એમની વૈચારિક સ્વતંત્રતા આપણી પાસેથી છીનવી લે ત્યારે નાં છૂટકે જ આપીએ તે પણ કેટલુંય ખોટું લગાડીને. એનો વસવસો તો મરીએ ત્યાં સુધી રહે કે છોકરાએ મારું કહ્યું માન્યું નહિ. પશ્ચિમનો નજરિયો અલગ છે. ૧૮ વર્ષના સંતાનને માબાપ સ્વતંત્રતા આપે છે. તો સંતાનો પણ માબાપની જીંદગીમાં દખલ કરતા નથી. માબાપ પણ કોઈ ભગવાન નથી આખરે મનુષ્ય જ છે. એમના પણ ગમા અણગમા હોય, અરમાન હોય, આશાઓ હોય, પોતીકી લાગણીઓ હોય, લાગણીઓના ચડાવ ઉતાર હોય. આપણે સ્વતંત્રતા ભોગવી હોતી નથી એટલે જરાપણ સ્વતંત્રતા જ્યાં દેખાય તરત એમાં સ્વચ્છંદતા જોવા ટેવાઈ ગયા છીએ.

અહિ બસ કે ટ્રેનમાં ગમે તેટલી ભીડ હોય કોઈ એક બીજાને ટચ કરે નહિ, કે છાપા નીચેથી હાથ સરકાવી બાજુમાં બેઠેલી છોકરીને કોઈ અડપલાં કરતું નથી. અહિ સેક્સુઅલ હેરેસમેન્ટ માટે સખત કાયદા છે. ઑફિસમાં મહિલાઓને કે પુરુષોને પણ એની મરજી વગર હાથ લગાવાય નહિ. એના ખભે હાથ ફેરવી લેવાય નહિ. નાના છોકરાનું કે છોકરીનું જાતીય શોષણ કર્યું હોય જે તે સમયે તેને ભલે સમજ પડી નાં હોય પણ મોટું થઈને તે કેસ કરી શકે છે અને તમને જેલમાં ચક્કી પીસિંગ એન્ડ પીસિંગ કરાવી શકે છે. એમાં ન્યુયોર્કની કોઈ સ્કૂલમાં ભણાવતી પંજાબી મહિલા ટીચર હાલ જેલમાં છે. હમણાં અહિ એપ્રિલ સુધી બરફ પડ્યો છે. લગભગ આઠેક મહિના પુરા કપડા પહેરવા પડે નહીં તો ચામડી ફાડી નાખે તેવું હવામાન હોય છે માટે અહિ આઠ મહિના તો કોઈ નાગું ફરતું નથી, ચિંતા કરશો નહિ. મેં અને સપ્ટેમ્બરમાં પણ નાગા ફરાય તેવું વાતાવરણ હોતું નથી. જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં લોકો સૂર્યનો તાપ જેટલો લેવાય તેટલો ચામડી દ્વારા લઈ લેવો તે ન્યાયે ઓછા કપડા પહેરે છે પણ સાવ નાગા નથી ફરતા.. ઓફિસોમાં અને કંપનીઓમાં તેમના પ્રોટોકૉલ મુજબ કપડા પહેરવા પડતા હોય છે.

પશ્ચિમના કલ્ચરમાં ખામીઓ છે નહિ તેવું પણ નાં હોય. ખામીઓ બધે જ હોય છે. કોઈ પૂર્ણ તો હોતું નથી. એમાં તો એની ખૂબી છે. પણ આપણે ધારીએ છીએ તેટલું ખરાબ પણ નથી. અહીં પણ માનવો જ રહે છે. અહીં પણ માબાપ પોતાના સંતાનો માટે સેક્રીફાઈસ કરે જ છે. અહિ પણ સંતાનો વૃદ્ધ માબાપની કાળજી રાખે છે. અહિ પણ ૩૦-૪૦ વર્ષથી એકની એક પત્ની સાથે કે પતિ સાથે જીવતા લોકો મેં જોયા છે. મારો સુપરવાઈઝર જુલિયસ ૨૦ વર્ષે પરણી ગયેલો આજે ૬૫નો હશે પણ હજુ બંને સાથે જ છે. આવા તો અનેક દાખલા છે. છતાં ભારત કરતા ડિવોર્સનું પ્રમાણ ચોક્કસ વધારે છે.

જે NRI દેશમાં આવીને અમેરિકા વિષે ખોટું ચિત્રણ કરે છે તેમની માનસિકતા વર્ષો પહેલા ભારત છોડી આવ્યા હોય ત્યાં જ અટકી ગયેલી હોય છે. એમનો હેતુ ફક્ત કમાવા પૂરતો જ હોય છે. ૩૦-૪૦ વર્ષ પહેલા દેશ છોડીને ભલે આવ્યા હોય ૩૦-૪૦ વર્ષ પહેલાની માન્યતાઓ એમની સાથે એની એજ જરાય બદલાયા વગરની હોય છે. એમની જોડે ડોલરની લીલી નોટો જોવાની જ દ્ગષ્ટિ બચી હોય છે. અહીંના સમાજ જીવન વિષે કે કલ્ચર વિષે અભ્યાસ કરવાની કે નિષ્પક્ષ જોવાની એમની પાસે કોઈ દ્ગષ્ટિ હોતી નથી, કે એવી એમને કોઈ જરૂર હોતી નથી કે એવી કોઈ પળોજણમાં પડતા જ નથી. એનાં એજ ટીલા ટપકા, એના એજ ગુરુઓ પાછળ દોટો મૂકવાની, એના એજ મંદિરો, એના એજ હજારો વર્ષ જૂની માન્યતાઓ અને પરમ્પરાઓ, એની એજ અંધશ્રદ્ધાઓ, એની એજ અવૈજ્ઞાનિક માન્યતાઓ, એના એજ સંસ્કૃતિ અને સંસ્કારની ગાથા ગાયે રાખવાની ટેવ, કોઈ જ બદલાવ નહિ. આવા અબુધ પૈસાદાર લોકો દેશમાં આવીને અહીંના અસલ ચિત્ર કઈ રીતે દોરવાના હતા?

આપણા બુઢા ખૂસટ લેખકોને પણ ખબર છે કે ભારતીયોને સંસ્કૃતિ અને સંસ્કારની દુહાઈ દો એટલે ભયો ભયો. તેઓને આ વિક પોઇન્ટ ખબર છે માટે તરત લેખ ઘસડી નાખશે. પશ્ચિમને થોડું ભાંડી નાખો એજ યુજુઅલ ભારતીયો ખુશ થઈ જવાના, આપણો ટી આર પી જળવાઈ જવો જોઈએ. લેસ્લીએ ડોક્યુમેન્ટરી બનાવી ભાંડી નાખો પશ્ચિમને, દીપિકાએ મારી મરજી કહ્યું ભાંડી નાખો પશ્ચિમને, બિહારમાં પરીક્ષાઓમાં થતી ચોરીઓના ફોટા વિદેશમાં પહોચ્યા ભાંડી નાખો પશ્ચિમને. કેટલાક યુવાનોએ મધર્સ ડે, ફાધર્સ ડે, વૅલન્ટાઇન ડે, ટીચર્સ ડે ઊજવ્યા ભાંડી નાખો પશ્ચિમને.

યુવાનોને વખોડ્યા વગર, પશ્ચિમને વખોડ્યા વગર આપણી પાસે જે જે તહેવારો છે તેને અપડેટ કરવા જોઈએ. આપણી પાસે ગુરુ પૂર્ણિમા છે જ. એ દિવસે ગુરુ ઘંટાલો પાછળ દોટો મૂકવાને બદલે યુવાનોને ટીચર્સ ડે ઊજવવા પ્રેરિત કરવા જોઈએ તો ફરી બીજો ટીચર્સ ડે ઊજવવા નહિ દોડે. આજના યુવાનને એના ટીચર્સમાં શ્રદ્ધા હશે તેટલી તમારા ટીલા ટપકા કરેલા પૈસા પડાવતા અવૈજ્ઞાનિક વાતો કરતા ગુરુ ઘંટાલ પ્રત્યે નહિ જાગે. પણ તમારે આવા લુચ્ચા ગુરુઓ પાછળ દોટો મૂકવી છે અને છોકરાને ટીચર્સ ડે ઊજવવા દેવો નથી. વસંત પંચમીને અપડેટ કરો વૅલન્ટાઇન ડે નહિ મનાવે. નવરાત્રિમાં કાલ્પનિક પ્રતીકાત્મક માતાઓ સાથે ઘરની અસલી માતાઓનું પૂજન કરવાનું શીખવો મધર્સ ડે નહિ મનાવે. પિતાજી તો મૂંગામંતર બલિદાન આપવા માટે જ હોય છે એમનો કોઈ દિવસ છે નહિ. દિવાળીને અપડેટ કરો. યુવાનોને સમજાવો કે વર્ષના અંતે દિવાળી અને ક્રિસમસ જેવા બે તહેવાર એક જ ટાઈપનાં જરૂરી નથી. દિવાળીમાં ક્રિસમસનો ચાર્મ ઉમેરો, થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરનું થ્રિલ ઉમેરો તો ફરી ક્રિસમસ ઊજવવા કોઈ તૈયાર નહિ થાય. આપણી પાસે પશ્ચિમ કરતા વધુ તહેવારો છે. છતાં આપણા તહેવારોમાં કશું ખૂટે છે, કશું નવું માંગે છે આજના યુવાનો. એટલે પશ્ચિમના તહેવારો તરફ દોટ મૂકે છે.

આપણે તહેવારોને તહેવારો રહેવા દીધા નથી ધાર્મિક મેળાવડા બનાવી દીધા છે. યુવાનોને ઇનોસન્ટ આનંદ માણવો હોય છે.    Mothers-Day-DP-For-Facebook

ક્ષમાપંથે

ક્ષમાપંથેimagesI3MWPAJ1

હું નાનો હતો ત્યારે વિજાપુરમાં અમારા ભાટવાડામાં એક કથાકાર આવતા. ઊંચા, ગોરા, મોટું કપાળ, વાંકડિયા ઝુલ્ફા, પ્રભાવશાળી હતા. મારા ફાધર થિયોસોફિકલ સોસાયટીમાં જોડાયેલા હતા. અને આ કથાકાર થિયોસોફિકલ સોસાયટીના વિચારોને વરેલા અને એના આમંત્રણથી જ આવતા, કોઈ ચીલાચાલુ ધાર્મિક ખાલી પૈસા કમાવાના હેતુ વડે કથા કરતા હોય એવું નહોતું. પ્રેરણાત્મક કથાઓ કહેવાનો એમનો હેતુ ઉમદા હતો. ‘વેર વેરથી શમતું નથી’ એવા શીર્ષક હેઠળ એક જોરદાર લોકકથા તેમના ભવ્ય કંઠે તેઓ કહેતા ત્યારે શ્રોતાઓ એક ટ્રાન્સમાં ચાલ્યા જતા. કથા હતી પીઠાસની..

પીઠાસ એક નાનો બાળક હતો એની પાસે એનો એક પાળેલો સસલો હતો. એકવાર પીઠાસ એના પિતા સાથે એના ફોઈના ઘેર જાય છે ત્યાં એનો સસલો જોડે જ હોય છે. પીઠાસનાં ફૂવા સસલાને મારી ભોજન રૂપે આરોગી જાય છે. આ વાતે પીઠાસનાં પિતા અને એમના બનેવી જે પીઠાસના ફૂવા થાય બંને વચ્ચે ઝગડો થાય છે. એમાં પીઠાસનાં પિતા બનેવીના હાથે મરાય છે. પીઠાસના મનમાં વેર ભાવના ઘર કરી જાય છે. પીઠાસ મોટો થતા એની ફોઈ પોતે જ પીઠાસને પોતાના ભાઈના મારતલ પોતાના પતિની હત્યા કરી આપવા સગવડ આપે છે. પીઠાસ ફુવાની હત્યા કરી વેરનો બદલો લે છે. હવે ફૂવાના દીકરા પીઠાસ પાછળ પડે છે. આમ વેરનો અંત આવે નહિ. પીઠાસની નવોઢાની રાત્રે મસ્તીભર્યા માહોલમાં બંગડીઓ તૂટી જાય છે. નવોઢા હઠ પકડે છે કે સૌભાગ્ય સૂચક બંગડીઓ વગરના હાથ નહિ રાખું હાલ જ બંગડીઓ લઈ આવો. પીઠાસ સમજાવે છે કે ફોઈના દીકરા ગમે ત્યારે મારી હત્યા કરી નાખશે આમ અરધી રાત્રે મણિયારની દુકાન ખોલાવી લેવા જવું હિતાવહ નથી પણ પત્ની માનતી નથી. પીઠાસ જાય છે ફૂઈના દીકરાઓ એને પકડી પાડે છે. પીઠાસ વચન આપે છે કે આ બંગડીઓ પત્નીને આપી ને પાછો આવું. પીઠાસ વચન પાળે છે અને ફૂવાના દીકરાઓનું હ્રદય પરિવર્તન થાય છે. પીઠાસને મારતા નથી. વેર વેરથી શમે નહિ અવેરથી શમે એવો ઉપદેશ આ કથામાં હોય છે.

આ કથા ગદ્ય અને પદ્યમાં મઢીને એવી સરસ રીતે કહેવાતી કે લોકોની આંખમાં આંસુ આવી જતા. હું બહુ નાનો હતો તે સમયે પણ એનો ટૂંકસાર હજુ મને યાદ છે તે કથાકારની કાબેલિયતનું પ્રમાણ છે.

કોઈના પ્રત્યે વેર, દ્વેષભાવ, રોષ મનમાં ભરી રાખવો જરાય હિતાવહ નથી. આપણને કોઈ દગો દે કે આપણી લાગણીઓ ઘવાય ત્યારે આપણું લોહી ઊકળી ઊઠે છે. ગુસ્સો અને બદલો લેવાની ભાવના જાગે છે. અને આવી ભાવના આપણી સિમ્પથેટિક નર્વસ સિસ્ટમનો ફાઈટ ઓર ફ્લાઇટ સ્ટ્રેસ રિસ્પૉન્સ ઍક્ટિવ કરે છે, જે આપણા સ્ટ્રેસ હાર્મોન્સ કોર્ટીસોલનું લેવલ વધારી નાખે છે. કડવાશ અને ક્રોધાવેશ દ્વારા ઊભો થતો સ્ટ્રેસ રિસ્પૉન્સ બ્લડપ્રેશર વધારે છે. કોઈ આપણા પ્રત્યે રોષ કે વેરભાવ મનમાં ભરી રાખે કે આપણે કોઈના પ્રત્યે ભરી રાખીએ તો તે લાંબા ગાળે ટૉક્સિક (વિષમય) બની બદલો લેવાની ભાવના ભેગી થતા ટ્રૅન્સ્ગ્રેશન તરફ દોરી જાય છે. આ વિષાક્ત રોષને શાંત પડવાની કોઈ પ્રક્રિયા હાથ ધરીએ નહિ અને મનમાં વેર ભરી રાખીએ તો શરીર માટે વિનાશકારી સાબિત થાય છે. એક રીતે કહીએ તો મનમાં રોષ ભરી રાખવો આત્મહત્યા જેવું કહેવાય.

માયામી યુનિના મનોવિજ્ઞાનનાં પ્રોફેસર Michael McCullough અને કેલિફોર્નિયા યુનિનાં મનોવિજ્ઞાની બેન્જામીન દ્વારા થયેલા એક અભ્યાસ મુજબ તમને જેના પ્રત્યે રોષ હોય તેના તરફ ખાલી પ્રસન્ન મુખમુદ્રા(conciliatory gestures) રાખી આગળ વધો તો પણ તમારા સ્ટ્રેસ હાર્મોન કોર્ટીસોલમાં ઘટાડો થાય છે. મૂળભૂત કોઈના પ્રત્યે વેરભાવ કે ગુસ્સો સિમ્પથેટિક નર્વસ સિસ્ટમનો ફાઈટ ઓર ફ્લાઇટ સ્ટ્રેસ રિસ્પૉન્સ ઍક્ટિવ થતા “stress hormone” cortisol વધારે જે સર્વાઈવલ માટે જરૂરી હોય છે, તેવી જ રીતે કોઈના પ્રત્યેનો રોષ કે ગુસ્સાનું શમન થાય તેવા મૈત્રી ભર્યા પ્રયત્નો  parasympathetic nervous system દ્વારા “love hormone” oxytocin નું લેવલ વધારે જે પણ સર્વાઈવલ માટે જરૂરી જ છે. હવે લાંબા ગાળે આપણા શરીર માટે કયું સારું? તમે જ નક્કી કરો. આ બંને નર્વસ સિસ્ટમ દ્વારા રિલીજ થતા બંને હાર્મોન્સ જરૂરી છે. હવે તો લગભગ બધા મિત્રો કાર ચલાવતા જ હશે તો સમજો એક ગેસ પેડલ છે અને બીજું બ્રેક પેડલ. ક્યારે ગેસ પેડલ દબાવવું અને ક્યારે બ્રેક તે આપણે કાર ચલાવતા જાણતા જ હોઈએ છીએ તો જીવનરથ ચલાવતા કેમ જાણી નાં લેવું કે ક્યારે cortisol ઘોડાને દોડાવવો અને ક્યારે oxytocin લગામ ખેંચવી? એક મહત્વની વાત એ છે કે cortisol and oxytocin બંનેનું સરસ બેલેન્સ સારા સ્ટ્રેસમાં પરિણામે છે જેને આપણે  પૅશન કહી શકીએ કોઈ કામ કે હેતુ પ્રત્યે જુસ્સો કે લગન વધારે છે અને તે ખરાબ સ્ટ્રેસ જે રોગોનું કારણ છે તેને ઘટાડે છે.

સતત વેરભાવ મનમાં ભરી રાખવો આપણને માનસિક રીતે એકલાં પાડી દે તેમાં નવાઈ નહિ. સમૂહમાં રહેવાથી સર્વાઈવલનાં ચાન્સ ખુબજ વધી જાય તે આપણે વિકાસના ક્રમમાં શીખી ચૂક્યાં છીએ. અને સમૂહમાં રહેવા સામાજિક જોડાણ અગત્યનું છે અને તે જોડાણ વધારવા એકબીજા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ જરૂરી છે, તો પ્રેમ અને વિશ્વાસનું જનક ન્યુરોકેમિકલ ઓક્સિટોસીન લેવલ સચવાય તે ખાસ જરૂરી છે. એમેઝોનનાં જંગલોમાં રહેતા હન્ટર ગેધરર ઉપર કરેલા એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે પુરુષો બહાર શિકાર કરવા જાય અને પાછાં ઘેર આવે ત્યારે એમના ઓક્સિટોસીન લેવલ વધી જતા અને તેનો આધાર તે કેટલો સમય બાકીના સમૂહથી દૂર રહ્યા છે તેના પર રાખતું. મતલબ વધુ સમય ફેમિલી કે સમૂહથી દૂર રહ્યા હોય અને ઘેર પાછાં આવે તો ઓક્સિટોસીન લેવલ ખૂબ વધી જાય. ઘણા દિવસે કોઈ પ્રિયજન મળે તો સ્વાભાવિક ખૂબ આનંદ પમાડતું હોય છે તેનું રહસ્ય ઓક્સિટોસીન લેવલ ખૂબ વધી જાય તેમાં છુપાયેલું હોય છે. ટૂંકમાં જેટલો વિરહ લાંબો મિલનની મજા એટલી વધારે.

કાયમ માફ કરવું અને ભૂલી જવું પણ યોગ્ય નથી, ખાસ તો જ્યારે તમે પરણેલા હો. હહાહાહાહાહહાહાહ.

કોઈ સંપૂર્ણ હોતું નથી માટે કાયમ બધા ભૂલો તો કરતા જ હોય છે ત્યારે ટૂંકા સમયનો ગુસ્સો જરૂરી છે. જેથી લાંબો સમય રોષ મનમાં ભરેલો રહે નહિ. હું પોતે શૉર્ટ ટૅમ્પર છું. શૉર્ટ ટૅમ્પર લોકોની એક જબરદસ્ત ખૂબી એ હોય છે કે તેઓ લાંબો સમય કોઈના પ્રત્યે વેરભાવ રોષ રાખી શકે નહિ. એમના ગુસ્સાનું સમાપન જલદી થઈ જતું હોય છે. થોડીવાર પછી તેઓ ભૂલી જતા હોય છે. કદી ગુસ્સે નહિ થનારા લોકોથી હમેશાં ચેતવા જેવું છે. તેઓ કોઈ મહાત્માઓ તો હોતા નથી ગુસ્સે તો થતા જ હોય છે પણ તેઓ એમનો ગુસ્સો મનમાં જમા કરી રાખતા હોય છે. અને કાયર હોવાથી આડકતરી રીતે એવું વેર વાળે કે જેનો કોઈ હિસાબ નો થાય. શૉર્ટ ટેમ્પરનો એક ગેરફાયદો એ છે કે સામેવાળો તરત હર્ટ થઈ જાય. અને સામાવાળાએ એના પ્રત્યે મનમાં રોષ ભરી રાખ્યો હોય છે તે શૉર્ટ ટેમ્પરને ખબર હોતી નથી. તે તરત ભૂલી ગયો હોય છે. સામેવાળો બદલો લેશે તે વાત પણ તેના મનમાં આવતી નથી. શૉર્ટ ટૅમ્પર લોકો દુનિયાના સૌથી વધુ દગાબાજીનો ભોગ બનનારા કમનસીબ લોકો છે.

બીજાને માફ કરવું તેના કરતા વધુ અઘરું પોતાની જાતને માફ કરવું છે.

બીજા પ્રત્યે રોષ ભરી રાખવો માફ નહિ કરવું જે રીતે કોર્ટીસોલ લેવલ વધારે અને ઓક્સિટોસીન લેવલ ઘટાડે તે જ રીતે પોતાના પ્રત્યે રોષ ભરી રાખવો કે પોતાની જાતને માફ નહિ કરવી કે પોતાની જાત પ્રત્યે શરમ અનુભવવી આપણું કોર્ટીસોલ વધારે છે અને ઓક્સિટોસીન ઘટાડે છે. Self-forgiveness is just as important as forgiving others.

આપણે કોઈ બીજાને ફોર્સ ના કરી શકીએ કે તે આપણને માફ કરી દે. ક્ષમા આપવાની પ્રક્રિયામાંથી પસાર થવાની દરેકની પોતપોતાની અલગ સ્પિડ હોય છે. પોતાની ભૂલની માફી માંગી લેવી ઉત્તમ છે. એના માટે LKM (loving-kindness meditation ) સરસ ઉપાય છે. આંખો બંધ કરી મનમાં પ્રેમ, કરુણા અને ક્ષમાનાં વિચારો સાથે પ્રસન્ન મુદ્રામાં ચાર ડગલાં આગળ વધવું જાણે સામે ૧) કોઈ પ્રિયજન ઊભું છે, ૨) જેના પ્રત્યે મનમાં રોષ છે તે ઊભું છે, ૩) કોઈ અજાણ્યું ઊભું છે, ૪) અથવા તો સામે પોતે જ ઉભા છીએ. બસ આટલું કરવામાં ફક્ત થોડી મીનીટોનો જ સવાલ છે.summer_love_wallpaper_rjtz3

 

 

 

 

 

 

 

મારી મરજી (My Choice)

મારી મરજી (My Choice)untitled

મારી મરજી નહોતી છતાં લંકાધિપતિ મને જબરદસ્તી ઉઠાવી ગયો. મેં પણ કમિટમેન્ટ એટલે કમિટમેન્ટ; રોજ સમજાવવા આવતો હતો છતાં કમિટમેન્ટ નિભાવવા એનું કહ્યું માન્યું નહિ. મારી વફાદારીના બદલામાં તમે શું આપ્યું? ઇનામમાં અગ્નિપરીક્ષા આપી. ચાલો હું એકલી રહી હતી અમુક વર્ષો માટે; તમને શંકા હતી કે હું વફાદાર રહી નહિ હોઉં તો તમે પણ એકલાં તેટલો સમય રહ્યા જ હતા તો અગ્નિપરીક્ષા ફક્ત મારી જ કેમ? તમારી કેમ નહિ? મને ખૂબ અપમાન લાગેલું પણ મારી મરજી કોઈએ પૂછી નહોતી. ચાલો જવા દો. ત્યાર પછી તમે શું બોલ્યા હતા યાદ છે? તારા માટે નહિ મેં તો મારા કુળની મર્યાદા સાચવવા યુદ્ધ કરેલું. હું ગર્ભવતી હતી છતાં જૂઠું બોલી વનમાં તગડી મૂકી મારી મરજી પૂછી હતી?

મારી ભૂલ નહોતી છતાં મને શિલા બનાવી દીધી ત્યારે મારી મરજી પૂછી હતી? પોતે હારી ગયા પછી મને એક દાગીનો હોય તેમ જુગારમાં મૂકીને હારી ગયા ત્યારે મારી મરજી પૂછી હતી? મારી મરજી નહોતી છતાં પાંચે ભાઈઓ મને પથારીમાં રમવાનું રમકડું સમજી રમે રાખતા હતા. હું એક સહિયારું રમકડું જ હતી. બાકી દરેક ભાઈની વધારાની એક પત્ની તો હતી જ. હું ખૂબ રૂપાળી હતી માટે મને મેળવવા તમે બધા લડી નાં મરો માટે મને આખા નગરની વધૂ-વહુ(નગરવધૂ) બનાવી દીધી મારી મરજી પૂછવાની કોઈ દરકાર કરેલી?

મારી મરજી ક્યારેય હતી ખરી?

આમેય મરજી તો તમારી જ ચાલવાની છે છતાં આજે પહેલી વાર મારી મરજી નામે એક સ્ટેટમેન્ટ આપ્યું તો કેવાં બધા ગભરાઈ ગયા? ભારતમાં તો ખાસ. અને મેં સ્ટેટમેન્ટ એવું આપ્યું છે કે જે તમે પુરુષો હમેશાં કરતા જ આવ્યા છો. તમારા માટે એવું બધું કરવાની કોઈ નવાઈ છે જ નહિ તે પણ સદીઓથી. સેક્સિસ્ટ લોકો ગભરાઈ ગયા. બિનૅવલન્ટ સેક્સિસ્ટ લોકો તો વળી બહુ જ ગભરાઈ ગયા.

લગ્ન બહાર શારીરિક સંબંધો તમે બાંધ્યાં જ છે. કદાચ હિંમતના અભાવે કે પેલી સ્ત્રીના ભાઈ કે પતિની બીકમાં નહિ બાંધ્યાં હોય તે વાત જુદી છે. તમારી એ મરજી તમે પૂરી કરી જ છે. છતાં અમે જો ભૂલમાં ય એવા સંબંધ બાંધીએ તો ચરિત્રહીનનું લેબલ તમે લગાડ્યું જ છે. અમને ચરિત્ર હીન બનાવવામાં તમારો ફાળો ક્યારેક પૂરો કે પછી અડધો તો હોય જ, પણ ભોગવવાનું તો અમારે જ. અમારું માથુ દુખતું હોય તાવ આવ્યો હોય છતાં તમે અમારા પર પતિ હક બતાવી રેપ કર્યા જ છે, બીજીઓની વાત જવા દો. તે બાબતે અમારી મરજી ક્યારેય પૂછતાં નથી. અમારા માબાપ પાસેથી ઢગલો રૂપિયા પડાવી ને અમારી મરજી પૂછ્યા વગર અમને શો પીસની જેમ ઘરમાં રાખી જ છે. તમે નપુંસક હો તો અમારે તમારા ભાઈઓ કે ભાઈબંધો જોડે સૂઈ જવાનું અને તમને બાળકો આપી બહાર મર્દ છો તેવું કહેવડાવવાનું તેવું પણ અમે કરેલું જ છે અમારી મરજી વિરુદ્ધ. અરે તમારા પ્રમોશન માટે તમારા ઉપરી અધિકારીઓ જોડે પણ અમારી મરજી વિરુદ્ધ સૂઈ જવાનું. અરે તમારે મર્યા પછી વૈકુંઠ કે અક્ષરધામ મેળવવું હોય તે માટે અમારે અત્યારે તમારા ગંધાતા ગુરુઓ સાથે સૂઈ જવું પડે છે. કપડા પણ અમારે તમારી મરજી મુજબ પહેરવાના સદીઓથી. કામ પણ અમારે સદીઓથી તમારી મરજી મુજબ જ કરવાનું. ૨૪/૭ અમારી પીદુડી તમે કાઢી જ છે સદીઓથી.

આજે પહેલી વાર મારા લગ્ન, મારી વાસના, મારી સાઇઝ, મારા પ્રેમ, મારા કપડા, મારી સંતાન પ્રાપ્તિ અને મારા આત્માની સ્વતંત્રતા બાબતે, કહ્યું તો ભડકી ઊઠ્યા? તરત મને ચારિત્રહીન ગણવાનું શરુ પણ કરી દીધું? આજ સુધી તમે આમાનું બધું તમારી મરજી મુજબ કરતા આવ્યા છો ત્યારે તો સમાજ અને સંસ્કૃતિનો લોપ નહોતો થઈ જતો હવે થઈ જશે? કે પછી એ જ તમારી સંસ્કૃતિ છે?

“મને ખબર છે ભરી સભામાં મને નગ્ન કરવી એ જ તો તમારી મહાન સંસ્કૃતિ છે.”

પ્યારાં મિત્રો મારી વાત એકદમ કડવી ઝેર જેવી લાગશે. પણ આપણે બિનૅવલન્ટ સેક્સિસ્ટ છીએ. સ્ત્રી સ્ત્રી છે માટે અને પુરુષ પુરુષ છે માટે તે બંને માટે અલગ અલગ વર્તન કરવું તેને સેક્સિસ્ટ કહેવાય. સ્ત્રીને નરકની ખાણ માનવી કે સ્ત્રીને કમજોર માની તેના માટે દયાભાવ રાખવો બંને વર્તન સેક્સિસ્ટ જ કહેવાય. બસમાં કોઈ યુવાન સ્ત્રી ચડે અને તેને બેસવાની જગ્યા નાં હોય તો હું એને કમજોર સમજી એના પ્રત્યે દયા ભાવ રાખી કદી ઊભો થઈ ને એના માટે સીટ ખાલી કરતો નહિ. કોઈ બીમાર, વૃદ્ધ, અશક્ત કે બાળકને તેડી ઊભેલી સ્ત્રી માટે હું તરત જગ્યા આપું તે જુદી વાત છે. એક યુવાન બસમાં જગ્યા નાં હોય તો ઊભો રહી શકે તો યુવાન સ્ત્રી પણ ઊભી રહી શકે. પણ સ્ત્રીને જોતા વેંત ઊભા થઈ જનારા સ્ત્રી ઉપર વગર કામનો ઉપકાર કરતા હોય છે સ્ત્રીને કમજોર સમજી પોતાને બળવાન સમજી.

બિનૅવલન્ટ સેક્સિસ્ટ ભલે એક રીતે સારા લાગે પણ ખરેખર આવા પુરુષો સ્ત્રી સ્વાતંત્ર્ય માટે વધુ જોખમી હોય છે. તેઓ સ્ત્રીને નાજુક, અસહાય, કમજોર સમજતા હોય છે. તેઓ સમજતાં હોય છે કે સ્ત્રીને હમેશાં પુરુષોના રક્ષણ નીચે જીવવું જોઈએ. સ્ત્રીને કાયમ પુરુષ પ્રટેક્શનની જરૂર હોય જ છે. સ્ત્રી પુરુષના રક્ષણ અને મદદ વગર જીવી જ ના શકે. સ્ત્રીએ હમેશાં પુરુષોની આજ્ઞામાં રહેવું જોઈએ જેથી એમનું રક્ષણ થાય. એકંદર આવા બિનૅવલન્ટ સેક્સિસ્ટ પુરુષોની નિશ્રામાં જીવતી સ્ત્રીઓ પણ માનતી થઈ જતી હોય છે કે એમને સતત રક્ષણની જરૂર છે. આમ કોઈપણ પ્રકારનું સેક્સિઝમ સ્ત્રીની મેન્ટલ હેલ્થ, એની કામ કરવાની ક્ષમતા, સુખની લાગણીઓ વગેરે માટે હાનિકારક હોય છે. દીકરીને ગાય દોરે ત્યાં જાય કહેનારો આપણો તો ઍવરિજ આખો સમાજ સ્ત્રીઓના હિત માટે એની સાથે અણછાજતું વર્તન કરનારો (બિનૅવલન્ટ સેક્સિસ્ટ) છે. પહેલા સ્ત્રી નાની હોય ત્યારે માતાપિતા ભાઈઓના રક્ષણ હેઠળ જીવવાનું, પછી પતિના રક્ષણ હેઠળ જીવવાનું પછી ઘરડી થાય એટલે પુત્રોના રક્ષણ હેઠળ જીવવાનું.

સ્ત્રી સ્ત્રી છે માટે કમજોર છે માની એના ફાયદા માટે, એના લાભ માટે સ્ત્રીઓ ઉપર જુલમ કરનારો આપણે સમાજ છીએ.

Vouge નો Women Empowerment અંતર્ગત બનેલ વીડીઓ ‘My Choice’ બહુ ચર્ચાસ્પદ બન્યો. એમાં આખી દુનિયાની સ્ત્રીઓના પ્રતિનિધિ તરીકે ૯૮ સેલિબ્રિટી સ્ત્રીઓ દર્શાવવામાં આવી અને મુખ્ય પાત્ર ભજવ્યું દીપિકા પદુકોણે. એના ભાગમાં જે સ્ક્રિપ્ટ બોલવાની આવી તે અભિનય સાથે બોલી ગઈ. ભલે એમાંનું બોલેલું બધું તે માનતી હોય કે નાં માનતી હોય. એક જોબ, એક મળેલ એન્ડોર્સમેન્ટનાં ભાગ રૂપે એણે એની જોબ કરી. પણ વિરાટ કોહલી રન કર્યા વગર આઉટ થઈ જાય તો દરેક વાતે સ્ત્રીને જ દોષી માનવાની માનસિકતા ધરાવતી આપણ પ્રજાએ અનુષ્કાને ભયંકર ગાળો દીધેલી તેમ દીપિકાને પણ ખૂબ ગાળો દીધી. હૉસ્ટાઇલ સેક્સિસ્ટ અને બિનૅવલન્ટ સેક્સિસ્ટ બધા પ્રકારના લોકોએ ગાળો દીધી. એવરિજ તમામ ભારતીયોએ ગાળો દીધી. આપણા મોટાભાગના મહાન લેખકોએ પણ એમની સેક્સિસ્ટ મનોદશા દર્શાવી દીધી એમના લેખોમાં. બિનૅવલન્ટ સેક્સિસ્ટ પુરુષોની નિશ્રામાં જીવતી સ્ત્રીઓ પણ માનતી થઈ જતી હોય છે કે એમને સતત રક્ષણની જરૂર છે. આવી સ્ત્રીઓએ પણ ગાળો દીધી, એમાં દીપિકા ભારદ્વાજ નામની દંભી સ્ત્રીએ કડક ટીકા પુરુષોનો પક્ષ લેતી કરી તો ગ્રેટ લેખકો અને પુરુષો હરખાઈ ઊઠ્યા.

My Choice નું મહત્વ સ્ત્રી માટે ઇવલૂશનરી અને બાયોલોજીકલ છે. સ્ત્રી જન્મે છે ત્યારે જ બાળકો પેદા કરવા જરૂરી લિમિટેડ એગ્સ સાથે લઈને જન્મે છે. ચાલો માની લઈએ એક સ્ત્રી ૧૨ વર્ષે ઋતુચક્રમાં આવી ગઈ. અને ૪૨ વર્ષે એનું તે ચક્ર સમાપ્ત થઈ જવાનું તો ૩૦ વર્ષના દર મહીને છૂટું પડતા એક અંડ પ્રમાણે ૩૬૦ અંડ સાથે લઈને જ જન્મ લેવાની. જ્યારે સામે પુરુષના એક ટીપા વીર્યમાં અબજો સ્પર્મ હોય છે. પુરુષ માટે ક્વૉલિટીનું કોઈ મહત્વ નથી ચાન્સ મળશે તો રખડતી ગાંડી ઘેલી ભિખારણમાં પણ એનું સ્પર્મ રોપી દેવાનો છે. મેં જાતે એવી ગાંડી ભિખારણ ગર્ભવતી જોએલી છે. જ્યારે સ્ત્રી માટે ક્વોન્ટીટી નહિ પણ ક્વૉલિટીનું મહત્વ છે; એની પાસે અત્યંત લિમિટેડ અંડ છે. માટે પાર્ટનર પસંદ કરવાની તેની મરજી મહત્વની છે. સ્ત્રી પાવરફુલ Genes ધરાવતા પુરુષની બીજી ત્રીજી કે ચોથી પત્ની બનવા રાજી થશે પણ કમજોર, બીમાર, માયકાંગલા અને દરિદ્રની પહેલી પત્ની બનવા કદી રાજી નહિ થાય. આખી ઇવલૂશનરી હિસ્ટ્રીમાં એવું જ જોવા મળેલું છે. એટલે તો આપણે પવિત્ર લગ્ન વ્યવસ્થા શોધી કાઢી છે, જેથી દરેકને ભાગે સ્ત્રી આવે જે કદી પવિત્ર હતી જ નહિ. પવિત્ર લગ્ન વ્યવસ્થામાં પણ સક્ષમ પુરુષ તો અનેક પત્નીઓ લગ્ન કરીને રાખતો જ હતો. ભારતમાં તો આઝાદી પછી એક પત્ની એક પતિનો કાયદો આવ્યો. પશ્ચિમમાં હવે તેનું અસ્તિત્વ ભુસાઈ જવા આવ્યું છે ભારતમાં થોડી વાર લાગશે. એટલે તો પુરુષો આવા વીડીઓ જોઈ ગભરાઈ જઈને વધુ હોબાળો મચાવી દેતા હોય છે.

Rosana Mendes Campos બ્રાઝીલની એક પ્રોફેસર બે પુખ્ત સંતાનોની માતા અને એક બાળકીની દાદી લાંબું સુખી લગ્નજીવન, કહે છે “It’s just what it is: the woman’s choice. Her right to choose, whether she chooses to act right or wrong is really up to her. Men have been choosing what they want to do for centuries. Now, women may do the same. Everyone knows what is best for them… or they might even choose wrong, but they are responsible for what they choose to do, and they will have to accept the consequences.’

દીપિકા પડુકોણ, ગ્રેટ બેડમિન્ટન પ્લેયર પ્રકાશ પડુકોણની દીકરી. સવારે પાંચ વાગે જાગવાનું, દોડવા જવાનું, કસરત કરવાની, સ્કૂલમાં જવાનું, સાંજે પાછી કસરત, રમતની પ્રેક્ટીશ કરવાની. સ્કૂલમાં હતી ને વસ્તુઓની જાહેરાતના કામ મળવાના શરુ થઈ ગયેલા. નેશનલ લેવલની અચ્છી બેડમિન્ટન પ્લેયર. ફેમિલી બધું રમતગમતનાં બૅકગ્રાઉન્ડ વાળું. પણ એક દિવસ અચાનક એના પિતાને કહ્યું મારે રમત જગતમાં નથી જવું મોડેલીંગ કરવું છે. એના પિતાએ જરાય આનાકાની વગર હા પાડી દીધી. આપણે એક ગ્રેટ બેડમિન્ટન પ્લેયર ગુમાવી અને ઉત્તમ અભિનેત્રી મેળવી. વફાદારી શું તેને ખબર છે. કપૂરિયાનો વુમનાઈઝર વારસો ધરાવતા રણબીરકપૂર સાથે સ્નેહ બંધન વડે જોડાઈ. સનમ બેવફા એવા રણબીરને એક બે વાર માફ પણ કર્યો પણ રેડ હેન્ડેડ પકડાઈ જતા તેનાં પર પૂર્ણવિરામ મૂકી દીધું. My Choice વીડીઓમાં એણે જે કહ્યું તે બધું તે પોતે માનતી હોય તેવું કોણે કહ્યું? આ તો જોબ હતી તે કરી લીધી. અને માનતી હોય તો પણ શું વાંધો છે? એની મરજી.

સ્ત્રી સશક્તિકરણ એટલે શું? સ્ત્રીને નબળી સમજ્યા વગર સ્ત્રીને એની મરજી મુજબ જીવવા દો સાથે તમે તમારી મરજી મુજબ જીવો અને બંને એકબીજામાં સમાઈ એકબીજાની મરજી સમજીને જીવો એનું નામ જ સ્ત્રી સશક્તિકરણ.

જંબુદ્વિપનાં વિહારમાં ગજેન્દ્ર મોક્ષ

untitledજંબુદ્વિપનાં વડાપ્રધાન ગજેન્દ્ર મોદી આજે જરા અપસેટ દેખાતા હતા. ગમાર ખોખામાં (ઈડીયટ બૉક્સ-ટીવી) જાતજાતના સમાચાર જોઈ એમનું મન જરા બગડેલા દહીં જેવું ખાટું થઈ ગયું હતું. સવારે બ્રાહ્મ મુહૂર્તમાં જાગીને સાહેબના ઉપનામથી જાણીતા વડાપ્રધાન કલાક યોગા કરતા. આખો દિવસ ખૂબ બોલવાનું ભાગે આવતું એટલે એના માટે એનર્જી ભેગી કરવા બે કલાક મૌન પાળતા એવું અફવા ફેલાવનારાઓનું કહેવું છે. એમણે યોગામાથી પરવારી, આસનસ્થ ફોટા વગેરે પડાવી તરત એમના અંગત સમિત શાહને બોલાવ્યા.

અલ્યા સમિતભાઈ, ‘ આ શું સાંભળું છું? આ ત્રાસવાદીઓના બાતમીદારો આપણા તેલના ટાંકા જ્યાં આવેલા છે તેની રેકી કરી ગયા?’

સાહેબ આ રેકી કરવાનું રોકી શકાય તેવી કોઈ વ્યવસ્થા આપણી પાસે છે નહિ. થોડા થોડા દિવસે અને ક્યારેક બે દિવસમાં બે વાર ત્રાસવાદીઓના હુમલા થાય છે. હવે આપણે એમની સામે લડવા કમાન્ડોબળ વધારવું પડશે.’ સમિત શાહે જવાબ આપ્યો.

સાહેબ ઉવાચ, ‘એના માટે જન્મજાત કમાન્ડો જેવા કરતબ કરતા લોકો હમણાં ટીવીમાં જોયા. વિહારના મુખ્ય મંત્રીનો સંપર્ક સાધો. અને ત્યાં ચાલતી પરિક્ષાઓ આપતા વિદ્યાર્થીઓને એમની વિદ્યાની અર્થી ઉઠાવવામાં મદદ કરવા જીવન જોખમે કમાન્ડો જેવા સાહસ કરતા વિરલાઓનું સન્માન કરો. એમને સીધા કમાન્ડો તરીકે ભરતી કરી દો. સંભવિત ત્રાસવાદી હુમલા સામે લડવા આવા જન્મજાત ખેલાડીઓની બહુ જરૂર પડશે. બીજું એમને ટ્રેનીગ આપવાનો સમય અને ખર્ચ પણ બચી જશે અને તે ખર્ચમાંથી હું બે દેશ વધારે ફરી શકીશ.’

હા સાહેબ, ‘એ કામ તો ચપટીમાં થઈ જશે. પણ વિહારના એ વીરલાઓના સાહસના ફોટા સમાચારસહ અમેરિકાના છાપામાં આવી ગયા એમાં કેટલાક પત્રકાર કમ લેખક લોકોની અદ્ભુત લાગણીઓ દુભાઈ ગઈ છે તેનો વિરોધ પ્રદર્શિત કરવા આપને મળવા આવ્યા છે.’

‘આ પત્રકારો લેખક પણ હોય છે?’ સાહેબને નવાઈ લાગી.

‘અમુક હોય છે. એમાંય મુંબઈમાં રહેતા લેખકો બહુ મોટા લેખક કહેવાય, આઈ મીન પૉપ્યુલર કહેવાય એવો એમને વહેમ હોય છે. સેળભેળભાઈ આવા ગ્રેટ લેખક છે એમની અંગત લાગણી દુભાઈ ગઈ છે, કે અમારા એક રાજ્યમાં વિદ્યાની અર્થી ઉઠાવવામાં કેટલું મોટું સાહસ કરવું પડતું હોય છે, એના ફોટા અમેરિકાવાળા કેમ છાપે?’ સમિતભાઈએ જરા લાબું ખેંચ્યું.

‘પણ એમાં મને મળવા શું કામ?’ સાહેબે શંકા કરી.

‘હવે ઓબામાજી આપના અંગત મિત્ર બની ગયા છે તેવી એમને શંકા છે, માટે આપ ઓબામાજીને ભલામણ કરો કે ફરી આવું થવું નાં જોઈએ,’ સમિતભાઈ બોલ્યા.

‘આ ઓબામા કોઈનો થયો નથી ને થવાનો નથી એ એના દેશનો જ રહેવાનો,’ સાહેબે ઉચ્ચાર્યું.

‘આપણે ય ક્યાં કોઈના થઈએ છીએ?’ સમિતભાઈ કોઈ સરખું સાંભળે નહિ તેમ બોલ્યા.

સાહેબ ઉવાચ, ‘આપણા સાહસોને વિદેશમાં જેટલી પ્રસિદ્ધિ મળે તેટલું સારું ત્યાં આ લેખકોના પેટમાં શું દુખતું હશે? હમણાં પેલી લેસ્લીબુન ફિલમ ઉતારી ગઈ હતી એમાં પણ આ લેખકો વિરોધ કરતા હતા.’

‘આપણા સાહસનાં સિક્રેટ બીજો કોઈ જાણી જવો નાં જોઈએ તેવી આપણા લોકોની અંગત લાગણી હોય છે, અને એ લાગણી ભડકાવવામાં રોટલા-પાણી હોય પછી?’ સમિતભાઈ કોઈવાર કટાક્ષ મારી લેતા.

‘એ લા સમિતભાઈ, આ વિહારમાં બીજું તિકડમ વિદ્યાની અર્થી ઉઠાવવાનું જોયું હમણાં, કે સામાન્ય જ્ઞાન વિષયનો શિક્ષક વિજ્ઞાનની ઉત્તરવહી તપાસતો હતો? મતલબ જે તે વિષયના નહિ અને બીજા વિષયના શિક્ષકો ઉત્તરવહીઓ તપાસતા હતા?’ સાહેબ બોલ્યા.

‘આ કાઈ નવું નથી, આપણા ગુર્જર દેશના વટપદ્ર(વડોદરા) નામના શહેરની એક જાણીતી અંગ્રેજી માધ્યમની સ્કૂલના શિક્ષકે આશરે ૧૫ વર્ષ પહેલા જાતે જોએલું કે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ ગુજરાતી માધ્યમના શિક્ષકો તપાસતા હતા. તે પણ પોતાનો વિષય નાં હોય તેવા વિષયની. તેમણે તે સમયે શિક્ષણ ખાતા અને મંત્રીશ્રીઓ ઉપર પત્રો લખેલા. આ બધું લોકો આપણા જોડેથી શીખે છે, આપણે પ્રધાનમંડળ રચીએ છીએ એમાં એવું જ હોય છે ને? સાધુના કુળ, સ્ત્રીની ઉંમર અને પ્રધાનની ડિગ્રી કદી પૂછવી નહિ’ સમિતભાઈ બરોબર ખીલ્યા.

‘આ શિક્ષકો ખરેખર રાજકારણમાં હોવા જોઈતા હતા બહુ કામ લાગે એવા છે, જે વિષયનું જ્ઞાન નાં હોય તે વિષયના પેપર તપાસવા બહુ સાહસનું કામ કહેવાય બેન વિસ્મૃતિને કહીને એમને આપણા પક્ષમાં ભરતી કરી દો, સાહેબે આદેશ આપ્યો.

‘સાહેબ, પેલાં લેખક મહાશયનું શું કરવું છે? બોલાવું એમને કે કોઈ બહાનું કાઢી રવાના કરી દઉં?’

‘તમારી નાતના જ છે ને? એમને ખીચડી કઢી જમાડી રવાના કરી દો મને ટાઈમ નથી, મારે જીતુભાઈ અને મુકેશભાઈ સાથે મહત્વની મિટીંગમાં જવું છે. મીતા ભાભીસાહેબ પણ આવવાનાં છે.’ સાહેબ આટલું કહી ગરુડ વેગે ભાગ્યા. જતા જતા સાહેબ સમિતભાઈ સામે જોરથી હસતા હસતા બોલ્યા.

સાધુના કુળ, સ્ત્રીની ઉંમર અને પ્રધાનની ડિગ્રી પૂછવી નહિ. સમિતભાઈએ પણ સૂરમાં સુર પુરાવ્યો.

 

નકલી ચરમસીમા (Fake Orgasm)

નકલી ચરમસીમા (Fake Org

untitled

સંભોગમાં સ્ત્રીઓને પ્રાપ્ય થતી ચરમસીમા બહુ મોટો પૉપ્યુલર ટૉપિક ગણાતો હતો, આજે પણ ગણાય છે. અમુક આફ્રિકન સમાજોમાં તો બચપણ થી જ સ્ત્રીઓના ક્લિટરિસ કાપી નાખવામાં આવે છે જેથી સંસર્ગનો આનંદ મેળવી શકે નહિ અને તે આનંદ કદી જાણ્યો જ નાં હોય તો ભવિષ્યમાં તે આનંદ વધુને વધુ પ્રાપ્ત કરવાની ઇચ્છા જાગે જ નહિ. એટલે એના પતિદેવને એક જાતની સલામતી કે એની સ્ત્રીને આનંદ આપવાની જવાબદારીમાંથી મુક્તિ. તો સામે એના વફાદાર રહેવાના ચાન્સ પણ વધી જાય.

સ્ત્રીઓની કામુકતા (ફીમેલ સેકસ્યુએલિટી) કે સ્ત્રીઓની કામુક પ્રવૃત્તિનાં સ્વીકાર બાબતે પશ્ચિમના સમાજ તો ખૂબ પ્રગતિશીલ છે. છતાં ત્યાં પણ નકલી ચરમસીમા હજુ પણ કૉમન છે તો બીજા રૂઢિચુસ્ત દેશોની તો શું વાત કરવી? હાજી પશ્ચિમના સમાજમાં પણ મોટાભાગની આશરે ૭૦ ટકા સ્ત્રીઓને સંભોગ દરમ્યાન ચરમસીમા પ્રાપ્ત થતી નથી તો સામે ૯૦ ટકા પુરુષોને તે સહજ મળે છે. એમાંય યુવાન સ્ત્રીઓ પાછી વધુ કમનસીબ હોય છે. કારણ સ્ત્રીને ઉત્તેજિત કરવાની મેજિક ફૉર્મ્યુલા શોધતાં એના પાર્ટનરને થોડીવાર લાગતી હોય છે સમય માંગી લે તેવું કામ છે. જ્યારે મોટા લોકો એમાં અનુભવ મેળવું ચૂક્યા હોય છે. આમ તો જે તે સંસર્ગ દરમ્યાન તો બરોબર પણ એક જ સમયે બંનેને ઑર્ગેઝમ પ્રાપ્ત થાય તો સારું એવું મનાતું હોય છે. અને એમાંય સ્ત્રી વહેલી અંત લાવી દે કે વહેલી તૃપ્ત થઈ જાય પુરુષ કરતા તો ભયો ભયો, આનંદ આનંદ. જરૂરી ફોરપ્લેનાં અભાવે કે કોઈ પણ કારણ હોય સ્ત્રીને ઑર્ગેઝમ પર પહોંચતાં વાર લાગતી હોય છે. અથવા તો પશ્ચિમના સમાજના આંકડા મુજબ આશરે ૭૦ ટકાને ચરમસીમા પ્રાપ્ત થતી નથી તો શું કરશે? ઑર્ગેઝમ પર પહોંચી ગઈ છે તેવો ઢોંગ કરશે. ચરમસીમા પ્રાપ્ત થતા ભૂતકાળમાં જે વર્તન થઈ ગયું હશે તેની નકલ કરશે.

અમુક લોકોનું માનવું એવું પણ છે કે પુરુષ તો સ્ત્રીને ઉત્તેજિત કરવા જે જે રમત રમતો હોય એમાં માનસિક રીતે સ્ત્રી જોડાય નહિ, એના પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે નહિ (lack of emotional commitment) તો પછી ઑર્ગેઝમ પર પહોચવું મુશ્કેલ. ઘણા એવું માને છે કે ચાલો સ્ત્રી-પુરુષ બંને ચરમસીમાએ પહોંચી ગયા તો પુરુષ માટે તો નૉર્મલ છે પણ સ્ત્રી માટે બોનસ કહેવાય. પણ જરૂરી નથી કે સેક્સ દરમ્યાન સ્ત્રી સંતોષ દર વખતે મેળવી જ લે. મહત્વની વાત હવે આવે છે. આ પશ્ચિમના સમાજની વાત છે, કે સ્ત્રીને સંભોગ દરમ્યાન સ્ત્રીના પોતાના પ્રયત્ને ઑર્ગેઝમ પ્રાપ્ત થાય એના બદલે પુરુષના પ્રયત્ને ઑર્ગેઝમ પ્રાપ્ત થાય તે વધુ લાભદાયી ગણાય છે. કારણ આમાં પુરુષનો અહં સંતોષાય છે કે મારા પ્રયત્નો વડે મારી પાર્ટનર ચરમસીમા ઉપર પહોંચી. અને એનો પોતાનો આનંદ બેવડાય છે. આવા સમયે જો સ્ત્રીને ઑર્ગેઝમ પ્રાપ્ત નો થાય તો પુરુષનો અહં ઘવાય છે. એને એવું થાય કે પોતે પોતાની સ્ત્રીને સંતોષ આપી શકવા સમર્થ નથી. તો સ્ત્રી પોતાના આનંદની ચિંતા કર્યા વગર પોતાના પુરુષના અહંને સંતોષવા ચરમસીમા મળી ગઈ છે તેવું બતાવવા ઢોંગ કરશે. પોતાના પ્રિયતમને અપસેટ કરવા ઇચ્છતી હોતી નથી. સ્ત્રી પોતાનો પાર્ટનર ફેઇલ ગયો છે તેવું તેને જણાવવા માંગતી હોતી નથી. ટૂંકમાં ઑર્ગેઝમ પ્રાપ્ત થઈ ગયું છે તેવી નકલ કરવામાં પણ સ્ત્રીનો હેતુ ઉમદા હોય છે તેના પુરુષનો અહંકાર સંતોષવાનો અને એમ કરીને એને ખુશ રાખવાનો.

સિંગમડ ફ્રોઈડ કહેતો ‘ woman’s basic fear is that she will lose love.’ એટલે સ્ત્રી પોતાના સંતોષ કરતા પોતાના પાર્ટનરનાં સંતોષની વધુ ફિકર કરતી હોય છે. જો કે પશ્ચિમના પુરુષો પોતે જ સ્ત્રીના ઑર્ગેઝમ બાબતે વધુ ચિંતિત હોય છે તે જાણી સ્ત્રીઓ ખુશ થતી હોય છે.

રૂઢિવાદી, ચુસ્ત, સ્ત્રીઓની જ્યાં બહુ કદર નાં હોય તેવા દેશોના સમાજોમાં ચિત્ર ઊલટું હોઈ શકે, ભારત પણ એમાં આવી જાય. અહીં સ્ત્રીને ઑર્ગેઝમ પ્રાપ્ત થતું હોય ત્યારે પણ આનંદના અતિરેકમાં તેને વ્યક્ત કરવું અસભ્ય ગણાતું હોઈ શકે. ઊલટાનું ઑર્ગેઝમ પ્રાપ્ત થતું હોય ત્યારે પણ એને શારીરિક રીતે બતાવ્યા વગર ચુપચાપ પડી રહેવું ખાનદાની ગણાતી હોઈ શકે. એવું લાગવું નાં જોઈએ કે સેક્સમાં ખૂબ મજા છે. નહિ તો સાલી વંઠેલ છે તેવું પતિદેવ સમજી લે તો પછી હમેશાં પતિદેવની શંકાશીલ નજરનો સામનો કરવો પડે. સેક્સ એક પાપ છે તમારે જે કરવું હોય તે કરો, હું તો આ ચુપચાપ પડી.. સેક્સમાં જરા રસ લેવો કે આજે સેક્સની ઇચ્છા થઈ છે તેવું બતાવવું પણ ચારિત્ર્ય હીનતા ગણાય જાય. અહીં તો અસલી મળેલું ઑર્ગેઝમ પણ છુપાવવું પડે તેવી હાલત છે, તે પણ દુનિયાને સૌથી પહેલું ‘કામસૂત્ર’ આપનારા દેશમાં. છે ને કરુણતા?

સંસ્કાર : તારક કે મારક? ભારતની પ્રગતિ કેમ અટકી? લેખક: સુબોધ શાહ

શ્રી. સુબોધ શાહે ‘Culture Can Kill’ નામનું અંગ્રેજીમાં બહુ સરસ આપણને વિચારતા કરી દે તેવું પુસ્તક લખ્યું છે. આ જગત સતત પરિવર્તનશીલ છે. સંસ્કૃતિઓ પણ પરિવર્તનશીલ નાં બને તો ઘાતક પુરવાર થતી હોય છે, અને જો આ પરિવર્તન પ્રોસેસ એટલો બધો ધીમો હોય લગભગ સ્થિર જેવો તો બીજી સંસ્કૃતિઓની સરખામણીએ આપણે વિકાસના ક્રમમાં બહુ પાછળ પડી જતા હોઈએ છીએ. શ્રી. સુબોધ શાહે આપણી ખુદની સંસ્કૃતિ, પરમ્પરા અને માન્યતાઓ આપણા માટે કઈ રીતે ઘાતક પુરવાર થાય છે અને આપણને કઈ રીતે વિકસતા અટકાવે છે તે બહુ સરસ રીતે સમજાવ્યું છે. આ પુસ્તકની ચિત્રાત્મક રજૂઆત અગાઉ અંગ્રેજીમાં કરી હતી. ત્યારે ઘણા મિત્રોની ફરમાઈશ આવેલી કે આ રજૂઆત ગુજરાતીમાં પણ હોય તો ઉત્તમ. ફક્ત આ ચિત્રો જુઓ, વાંચો અને પુસ્તકનો સાર ગ્રહણ કરો. પ્રથમ ચિત્ર ઉપર ક્લિક કરીને આખો  સ્લાઈડ શો જુઓ. આ પુસ્તકની પ્રિન્ટેડ કોપી જોઈતી હોય તો અહી ક્લિક કરો Culture Can Kill

ભારતની દીકરી જોખમમાં

ભારતની દીકરી જોખમમાં230px-Tizian_094

લેસ્લી ઉડવીન, ૧૯૫૭મા ઇઝરાયલમાં જન્મેલી યહૂદી બાઈ. Eldorado નામના ટીવી શોમાં અભિનય કરતી કરતી ફિલ્મ મેકર બની ગઈ. India’s Daughter નામની ડોક્યુમેન્ટરી બનાવીને ભારતમાં વિવાદાસ્પદ બની ગઈ છે. નિર્ભયારૅપ તરીકે પંકાઈ ગયેલા કાંડ ઉપર એણે દસ્તાવેજી ફિલ્મ બનાવી છે. પોતાના ગુમડાં જોવાની હિંમત ગુમાવી બેઠેલી દંભી પ્રજાએ કાગારોળ મચાવી દીધી. એ પ્રજા ભૂલી ગઈ કે આજના આધુનિક શહેરોમાં રહેતી ભણેલી ગણેલી સ્ત્રીઓ પણ ક્યાં સેફ છે? હજુ સ્ત્રીઓની દશા એવી જ છે. દિલ્હી જેવા મહાનગરમાં રોજ બળાત્કાર થાય છે. રોજ એક જ્યોતિ બલાત્કાર સહન કરીને એની બોલવાની જ્યોત બુઝાવતી હોય છે. હરામીઓએ એક જ્યોતિના તો બસમાં આંતરડા પણ બહાર કાઢી નાખ્યા. સાલું આ લાંબું લાંબું હાથમાં શું આવ્યું? આંતરડા જ હોવા જોઈએ. જગજાહેર બીબીસી પર કહેતા શરમ પણ નો આવી? લાખો લોકોની વિચારસરણી એક રૅપીસ્ટ, એક બળાત્કારી જેવી છે તે ઉજાગર થઈ ગયું. અને તે આખી દુનિયા જાણી જાય તો આબરૂ જાય.

‘આ આબરૂ જાય’ માનસિકતાએ લાખો છોકરીઓ બચપણથી બળાત્કાર સહન કરવાની ટેવ પાડી દેતી હોય છે. તમને ખબર નહિ હોય કાયદેસર સૌથી ઓછા બળાત્કાર ભારતમાં નોંધાયા છે. એકલી સ્ત્રીઓ નહિ પણ પુરુષો ઉપર પણ બળાત્કાર થતા હોય છે. ખાલી અમેરિકામાં ૨૦૦૮માં આશરે ૪૦,૦૦૦ પુરુષો ઉપર અને ૧૬૪૦૦૦ સ્ત્રીઓ ઉપર બળાત્કાર થયા છે એવું કહેવાય છે. ફ્રાન્સમાં ૨૦૧૨માં ૭૫,૦૦૦ રૅપ કેસ નોંધાયેલા. ટૂંકમાં યુરોપના દેશમાં કેસ વધુ નોંધાય તે સ્વાભાવિક છે કે જ્યાં વર્જિનિટીનું બહુ મહત્વ હોય નહિ. જે દેશોમાં વર્જિનિટીનું મહત્વ અતિશય હોય ત્યાં રૅપ થયા પછી સ્ત્રીઓ ઉપર બહુ મોટું જોખમ હોય છે. સંબંધીઓ દ્વારા જ મારી નખાય તેવું બને. ભારતમાં શરમના માર્યા અને આબરૂ જવાની બીકે કેસ નોંધાતા નહિ હોય તે વાત જુદી છે. Date rape, gang rape, marital rape, incestual rape, child sexual abuse, prison rape, acquaintance rape, war rape and statutory rape વગેરે વગેરે રૅપની કૅટેગરી છે. રોમન કિંગડમનું રોમન રિપબ્લિકમાં રૂપાંતર થયું એની પાછળ ઉમરાવ પત્ની Lucretia ઉપર થયેલો રૅપ કારણભૂત હતો. Lucretia એ પછી આત્મહત્યા કરેલી.

રૅપ એકલાં ભારતમાં જ થાય છે તેવું તો હોય નહિ. આખી દુનિયામાં રૅપ થતા જ હોય છે. હવે એક ભારતમાં બનેલા રૅપ ઉપર બનેલી ડોક્યુમેન્ટરી જોઈ આખી દુનિયામાં ભારતની આબરૂ જશે, આખી દુનિયાના લોકો ફિટકાર વરસાવશે તેવું માની લેવું વધુ પડતું છે. કારણ દરેક દેશમાં રૅપ થતા જ હોય છે. એક રૅપીસ્ટનો ઈન્ટરવ્યું જોઈ ભારતના તમામ યુવાનો આવા જ હશે તેવું માની લે તેવા બાકીની દુનિયાના લોકો મૂરખ તો હોય નહિ. પણ લેસ્લી ઉડવીન અને BBC એ બનાવેલી ડોક્યુમેન્ટરીનો વિરોધ કરવા આવા બધા બહાના ભારતની મૂરખ-દંભી પ્રજા દ્વારા અને મીડિયા દ્વારા કરવામાં આવે છે. વિરોધનું મૂળ કારણ ભારતની આબરૂ જાય છે અને આબરૂની ચિંતા સૌથી વધુ આપણને હોય છે.

એક રૅપ આખા રોમન કિંગડમને રોમન રિપબ્લિકમાં બદલી નાખે તેમાં પ્રજાની જાગૃતિને જ સલામ કરવી પડે. રોમન Lucretia પછી કદાચ જ્યોતિસિંઘ પર દિલ્હીમાં થયેલો બળાત્કાર પહેલો એવો હશે જેમાં પ્રજાએ પ્રચંડ વિરોધ દર્શાવ્યો હશે. બાકી દુનિયામાં એક રૅપ થાય વિકટીમ અને વિકટીમનાં સગાઓ સિવાય કોઈને કાઈ પડી હોતી નથી. બસ આ પ્રચંડ વિરોધ જોઇને લેસ્લી ઉડવીનને ભારતની જાગૃત પ્રજા માટે એક માન પેદા થયું અને એને વિચાર આવ્યો કે આના પર એક દસ્તાવેજી ફિલ્મ બનાવીએ તો દુનિયા આમાંથી બોધપાઠ લે. એણે આ ગેંગ રૅપનાં એક સભ્યનો ઈન્ટરવ્યું લીધો. ડિફેન્સ વકીલોના ઈન્ટરવ્યું લીધા. ડિફેન્સ વકીલોની માનસિકતા જાણીને મને તો ખરેખર ચક્કર આવી ગયા. પણ ડીફેન્સનાં એક વકીલે નગ્ન સત્ય કહ્યું કે બળાત્કારના આરોપો જેમના માથે હોય એવા કેટલાય ચૂંટાયેલા સભ્યો સંસદમાં બેઠાં છે તેમનું શું? બળાત્કારીઓ અને બળાત્કાર કરવાની માનસિકતા ધરાવતા લોકો જ સંસદમાં બેસીને રાજ કરતા હોય ત્યાં કોને કહેવાનું? બસ લાખો લોકોએ જોયું કે આ તો આપણી જ માનસિકતા છે. અને દુનિયા હવે આપણી ચીપ માનસિકતા જાણી જશે, બસ કાગારોળ મચી ગઈ. જાતજાતની બાલીશ, અર્થ વગરની દલીલો થવા લાગી. અરે આ વિરોધમાં સ્ત્રીઓ અને તે પણ બુદ્ધિશાળી ગણાતી સ્ત્રીઓ પણ જોડાઈ ગઈ. છે ને કરુણતા? ગોરા ત્રિવેદી સાચું જ કહે છે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન પહેલી હોય છે.

મહાન કટાર લેખકો એમનો શબ્દ વૈભવ વાપરવા લાગ્યા કે લેસ્લીએ બ્રિટનમાં ૨૦૧૨માં મૂળ પાકિસ્તાનીઓ દ્વારા આચરેલા સેક્સ સ્કેન્ડલ વિષે કેમ ફિલ્મ નાં બનાવી? બનેલી છે ભાઈ જરા ગુગલ વાપરો. તો કહે પણ લેસ્લીએ જ કેમ નાં બનાવી? હહાહાહાહાહ આ ઈમેચ્યોર ગુજરાતી કટાર લેખકોને શું કહેવું? BBC ની બધી ડોક્યુમેન્ટરીઓ લેસ્લીએ જ બનાવવી પડે તેવું થોડું હોય? BBC આખી દુનિયામાં ફરીને જુદા જુદા ફિલ્મ મેકર્સ દ્વારા ડોક્યુમેન્ટરીઓ બનાવે છે. આપણા ફિલ્મ મેકર્સ પણ એમાં જોડાઈ શકે. દુનિયાનો કોઈ ખૂણો બાકી નહિ હોય જ્યાં BBC અને નેશનલ જિયોગ્રાફી પહોચીને દસ્તાવેજી ફિલ્મો નાં બનાવતું હોય. આપણું ભાંડ મીડિયા પોલિટિકલ પ્રોસ્ટીટ્યુશન કરવાથી ક્યાં કદી ઊંચું આવે છે? તે સમાજની આંખ ઉઘાડે તેવી ફિલ્મો બનાવે? યુરોપ અમેરિકામાં કોઈ પણ સ્કેન્ડલ થાય તરત એનું દસ્તાવેજીકરણ થઈ જતું હોય છે. પાપી પશ્ચિમ એ બાબતમાં દંભી નથી.

લેસ્લી ઉડવીન
લેસ્લી ઉડવીન

દ્રૌપદીની તાર્કિક બુમોનાં જવાબ આ સમાજે આપ્યા નથી. સીતાના મુક ચિત્કાર આ સમાજે સાંભળ્યા નથી, ખુદ એના પતિએ સાંભળ્યા નહોતા. એમાં સીતા ધરતીમાં સમાઈ ગઈ( સુસાઈડ કે ભૂગર્ભ)..અહલ્યા ઇન્દ્રની નાલાયકી અને ગૌતમની અન્યાયી રસમને લીધે પથ્થર જેવી બની ગઈ.. છેતરામણી ઇન્દ્રે કરી સજા એક સ્ત્રીને પડી.. કરુણતા એ જુઓ કે અહલ્યાનો ઉદ્ધાર કરનાર(રામ) એની ખુદની પત્નીનો ઉદ્ધાર ના કરી શક્યા. મમતાની ફરિયાદ આ સમાજે સાંભળી નથી. અહલ્યાની વેદના આ સમાજે જાણી નથી. બુમો પાડ્યા વગર આ સમાજ સાંભળે એવો છે ખરો? સદીઓથી સ્ત્રીઓના હક બાબતે સૂતો આ સમાજ ધમાલ કર્યા વગર સંભાળે છે ખરો? બૃહસ્પતિએ ભાઈની ગર્ભવતી પત્ની મમતા પર બળાત્કાર કરેલો, મમતાએ વિરોધ કર્યો તો દેવતાઓએ મમતાને ગાળો દીધેલી. આ દસ્તાવેજી ફિલ્મનો વિરોધ કરનારા તરીકે આજે પણ પેલાં દેવતાઓ હાજર છે.

આબરૂ નાં જતી હોય અને લોકો જાણી જતા નાં હોય તો છો ને રોજ એક જ્યોતિ મરતી? છો ને રોજ એક જ્યોતિના આંતરડા એની યોનિમાં હાથ નાખીને બળાત્કારીઓ કાઢી નાખતા? આ આપણું અસલી ચિત્ર છે. લેસ્લીની ડોક્યુમેન્ટરીનો વિરોધ કરનારા લોકોમાં બે જાતની માનસિકતા ધરાવતા લોકો છે ૧) પુરેપુરા પુરુષપ્રધાન માનસિકતાના પ્રતિનિધિ, સ્ત્રીઓને વસ્તુ સમજનારા, સ્ત્રીમાં કોઈ આત્મા છે તેવું નહિ માનનારા, બિલકુલ પેલા રેપિસ્ટ અને તેના વકીલ જેવી માનસિકતા ધરાવનારા, ૨) પેલા રેપિસ્ટ જેવી માનસિકતા નહિ ધરાવનારા પણ કાયર, કમજોર, પોતાની દીકરી ઉપર રેપ થયો હોય તો પણ કહેશે ચુપ મર સાલી સમાજમાં મારી આબરૂ જશે, છાની રહે..

વધુ ધાર્મિક, ઓછાં બુદ્ધિશાળી?

વધુ ધાર્મિક, ઓછાં બુદ્ધિશાળી?imagesGLLQ8HR8

આપણે કેટલા ધાર્મિક છીએ? આપણે કેટલા બુદ્ધિશાળી છીએ? એક નવો અભ્યાસ કહે છે જો ધાર્મિક વધુ હોઈશું તો બુદ્ધિશાળી ઓછા અને બુદ્ધિશાળી વધુ હોઈશું તો ધાર્મિક ઓછા. હવે ધર્મની હજારો વ્યાખ્યા થઈ શકે તો એ પ્રમાણે ધાર્મિકની હજારો વ્યાખ્યા થઈ શકે. તે પ્રમાણે બુદ્ધિશાળી કોને કહેવો તેની પણ હજારો વ્યાખ્યા થઈ શકે. એટલે વિવેકાનંદ, ઓશો અને ગાંધી જેવા ઈન્ટેલીજન્ટ થિંકર વધુ ધાર્મિક, વધુ બુદ્ધિશાળી હોઈ શકે છે. એટલે મારે એવા અપવાદોની વાત કરવી નથી. હું અહીં પ્રચલિત અર્થમાં ધાર્મિક એટલે ટીલા-ટપકાં કરી રોજ મંદિરોમાં અને કહેવાતા ગુરુઓ પાછળ દોટો મૂકતાં કહેવાતા ધાર્મિકોની વાત કરું છું. આવા ધાર્મિકો જેટલા વધુ ધાર્મિક એટલાં ઓછા બુદ્ધિશાળી. અથવા જેટલા વધુ બુદ્ધિશાળી એટલાં ઓછા ધાર્મિક. એટલે જેમ જેમ આપણા જીવનમાં બુદ્ધિનું તત્ત્વ-મહત્વ વધતું જાય તેમ તેમ આપણા જીવનમાં કહેવાતી ધાર્મિક માન્યતાઓનું મતલબ ધર્મનું મહત્વ ઓછું થતું જવાનું. ઘણા વધુ બુદ્ધિશાળી મિત્રોને ખાલી એક સુપ્રીમ ગોડ કે પરમ તત્ત્વ સિવાય બીજી ધાર્મિક ઇરેશનલ માન્યતાઓમાં રસ હોતો નથી. આમ કહેવાતા આસ્તિક ઓછા હોય છે તો એવા લોકોમાં સ્વાભાવિક બુદ્ધિનું તત્ત્વ વધુ જ હોવાનું.

આમેય ધાર્મિક માન્યતાઓ ઇરેશનલ હોય છે તે હકીકત છે. કોઈ પણ વાત કાર્યકારણનાં સંબંધ વગર કે કોઈ સાબિતી વગર માની લેવાનું ધાર્મિક મનમાં વધુ હોય છે, નાં તો એની પ્રયોગાત્મક કોઈ ચકાસણી થઈ હોય એટલે બુદ્ધિશાળી વ્યક્તિને તે માનવું અઘરું થઈ પડે. કોઈ બાપુ કે બાબાએ કહ્યું છે એટલે કહેવાતો ધાર્મિક તરત માની લે પણ બુદ્ધિશાળી માટે માનવું મુશ્કેલ થઈ પડે. ઇન્ટેલિજન્ટ લોકો પૃથક્કરણાત્મક વિશ્લેષણાત્મક હોય છે. સામે રિલિજસ લોકો સાયન્સ અને સાયન્ટિફિક એવિડન્સ બંનેના સીધા વિરોધમાં જ ઉભા હોય છે. બીજી રીતે જોઈએ તો ઊંચો IQ ધરાવતા લોકોને વિજ્ઞાનમાં વધુ શ્રદ્ધા હોય છે, કે વિજ્ઞાન ધર્મનો બેસ્ટ ફ્રૅન્ડ નથી જ.

મોટાભાગના સમાજોમાં નિરીશ્વરવાદી અને અજ્ઞેયવાદીઓ બહુ ઓછા હોવાના. રૅશનલિસ્ટ નો સીધોસાદો અર્થ સમજદાર, વિવેકી અને સૂઝ ધરાવનાર એવો થાય છે. કોઈ પણ વસ્તુ વિષય સમજ્યા પછી એમાં માનવું, એકદમ કોઈ કહે એટલે તરત અંધની જેમ મની લેવું નહિ. આમાં ખોટું શું છે? રૅશનલિસ્ટ, નિરીશ્વરવાદી અને અજ્ઞેયવાદી બહુ ઓછા હોય છે દરેક સમાજમાં. હવે સમજદાર, વિવેકી હોવું અને થોડી ઘણી બુદ્ધિગમ્ય વાત કરવી જે સમાજમાં પાપ ગણાતું હોય તે સમાજની ઉન્નતિ અને બૌદ્ધિક વિકાસ માટે કેટલી આશા રાખી શકાય? રૅશનલિસ્ટ, નિરીશ્વરવાદી કે અજ્ઞેયવાદીને આવા લોકો ગાળ દેવામાં પોતાની મહાનતા સમજતા હોય છે. મૂળ તો લોકોના ઇરેશનલ, સૂઝ સમજ વગરના હોવા ઉપર જ જેમનો ધંધોપાણી અને રોટલા ચાલતા હોય તેવા લોકોને સમાજ વિવેકબુદ્ધિ વાપરે તો એમના ધંધા પર ખતરો જણાતો હોય છે. માટે લોકો જેટલા બુદ્ધિ ઓછી વાપરે એમની સૂઝ સમજ ઓછી વાપરે તેટલું સારું. એટલે આવા ધર્મના ધંધાદારીઓ રૅશનલિસ્ટને ખાસ ગાળો દેવાના. પાપી પેટનો સવાલ છે. એટલે જો કોઈ મૂર્ખશિરોમણી રૅશનલિસ્ટ વિષે જાહેરમાં બકવાસ કરે ત્યારે એ અને એના સમર્થક ઉપર દયા ઉપજે છે.

બુદ્ધિશાળી લોકો સ્વતંત્ર વિચારક હોય છે. જો કે રિલિજસ અને ઇન્ટેલિજન્ટ બંનેની ગાડી જુદા જુદા પાટા ઉપર પણ એક દિશામાં અમુક બાબતોમાં સાથે જતી હોય છે. રિલિજસ માનતો હોય છે કે જગત એક સુપ્રીમ ફોર્સનાં કંટ્રોલ હેઠળ વ્યવસ્થિત ચાલે છે તો ઇન્ટેલિજન્સ અને સાયન્સમાં વિશ્વાસ તેવો જ સંતોષ આપે છે કે ભાઈ ફિઝિક્સનાં નિયમો વડે જગત વ્યવસ્થિત ચાલે છે. ધાર્મિક માનતો હોય કે સારા કર્મ કરીશું તો સારા ફળ મળશે નહિ તો પાપોની સજા ભોગવવી પડશે. આમ બીકનો માર્યો સીધો ચાલવા પ્રયત્ન કરતો હોય છે જ્યારે ઇન્ટેલિજન્સ આંતરિક મેન્ટલ પાવર વધારી સેલ્ફ કંટ્રોલ વધારે છે. રિલિજસ માનતો હોય કે હું બહુ સારો માનવી છું કારણ હું વધુ રિલિજસ છું. તો સામે ઇન્ટેલિજન્ટ પણ એવું જ માનતો હોય છે કે હું બેટર છું કારણ હું સ્માર્ટ છું. છેલ્લે સામાજિક પ્રાણી હોવાને લીધે ધાર્મિકોને એમના જેવા ટોળામાં વધુ સલામતી અને વધુ સામાજિકતા લાગે તે સ્વાભાવિક છે. તો સામે ઇન્ટેલિજન્ટ ને પણ સમાન વિચારસરણી ધરાવતા લોકો સાથે વધુ ફાવે તે હકીકત છે.

આપણે ત્યાં તો ભણતર કે ડિગ્રી ઉપર પણ જવાય તેવું નથી. ડિગ્રી ફક્ત એક ટેકનિકલ સ્કિલ્ડ લેબર સિવાય કશું વધારે હોતી નથી. હું અમદાવાદimagesPHRCBQQ5 એક કૉલેજના પ્રિન્સિપાલની ઑફિસમાં ગયેલો મારા એક સંબંધી જોડે. પહેલું તો અમારે અમારા શૂઝ કાઢવા પડેલા ઑફિસમાં એન્ટર થતા. પ્રિન્સિપાલની ઓફિસ કરતા જાણે મંદિરમાં જતા હોઈએ તેવું વધુ લાગેલું. ઑફિસમાં જ એમણે મંદિર બનાવી દીધેલું. હવે આ કહેવાતા Intellectual મિત્ર જેને હું તો બુદ્ધુ જ માનું છું, સાથે વાતો થઈ તો એમણે પૂછ્યું, ‘અત્યાર સુધી શું કર્યું જીવનમાં? એનો હિસાબ સ્વર્ગ કે નર્કમાં માગે તો શું જવાબ હશે તમારો? આ ભગવાને સર્જન કર્યું છે માનવજાતનું. તો કેટલો સમય લઈને માનવ ઘડ્યો હશે? ને કંઈક વિચારીને જ આપણને જગતમાં મોકલ્યા હશે ને? એક ઉદ્દેશને લઈને? શું એ પરિપૂર્ણ થયો છે ખરા? કે થશે ખરા?’

મારી સાથે આવેલા સંબંધી વિચારતા થઈ ગયા. એક અપરાધભાવ અનુભવવા લાગેલા, જાણે પોતે દીનહીન. સામે મહાન ધર્માત્મા જો બેઠેલા હતા. મારો પિત્તો હટી ગયેલો.

મેં કહ્યું, ‘સાહેબ ભગવાન સર્વજ્ઞ અને સમર્થ છે બરોબર?’

તો કહે,  ‘હા ભગવાન તો સર્વજ્ઞ અને સમર્થ જ હોય ને?’

તો પછી એણે જે કરવું હોય તે જાતે જ કરી લે ને? આપણને ઘડે પછી પૃથ્વી ઉપર મોકલે એવા બધા નાટક કરવાની એને ક્યાં જરૂર છે?’ મેં કહ્યું.

મારા સંબંધી થોડા ગભરાઈ ગયેલા કે, આમણે ક્યાં સામે મોરચો માંડ્યો?

મેં કહ્યું, ‘ભગવાન તો સર્વજ્ઞ છે તેને તો ખબર જ હોય કે આ હિટલરને ઘડીને મોકલીશ તો મારા જ ઘડેલા ૬૦ લાખ નાના બાળકો સાથેના યહૂદીઓને જીવતા ગેસ ચેમ્બરમાં શેકી નાખશે. શું ભગવાને એને ૬૦ લાખ યહૂદીઓને શેકી નાખવા મોકલ્યો હતો? ચાલો એવા કામ કરવા નહોતો મોકલ્યો અને હિટલરે એવા ખરાબ કરી નાખ્યા તો એનો મતલબ તમારો ભગવાન સર્વજ્ઞ છે જ નહિ. એને ખબર હોતી જ નથી કે હું જેમને ઘડીને મોકલું છું તે ત્યાં પૃથ્વી પર જઈને શું કરશે? અથવા તો હિટલરનો અને યહૂદીઓનો ભગવાન જુદો જુદો છે. કારણ હિટલર તો માનતો જ હતો કે એ સ્પેશલ યહૂદીઓનો નાશ કરવા જ જન્મ્યો છે. ભગવાનની મરજી વગર પાંદડું પણ હાલતું નથી મતલબ ભગવાનની મરજી જ હતી કે ૬૦ લાખ યહૂદીઓ મરે કે ભોપાલમાં ૧૦ હજાર માનવીઓ ઝેરી ગેસથી મરે.’

મારી વાતોનો એમની પાસે કોઈ જવાબ હતો જ નહિ. તરત બીજી વાતોએ વળગી ગયા. અમે એમના મંદિર કમ ઑફિસમાંથી બહાર નીકળ્યા. મારા સંબંધી કહે પહેલા તો હું એમની વાત સાંભળી પોતાને ગિલ્ટી માનતો થઈ ગયેલો પણ તમારી વાત સાંભળી તે ગિલ્ટ નીકળી ગયો.

મેં કહ્યું, આવા લોકો ભોળી પ્રજાને ગભરાવે છે. પોતે મહાન હોય તેમ સવાલ પૂછે છે. સવાલ પૂછીને પોતાને એક પગથિયું ઊંચે મૂકીને તમને નીચા સાબિત કરતા હોય છે. આ ભલે ડિગ્રીધારી પ્રિન્સિપાલ હોય પણ ઈન્ટેલેકચ્યુઅલ છે જ નહિ. એક સ્કિલ્ડ મજૂર અને આમાં કોઈ ફરક નથી. કુદરતે અચાનક માનવી પેદા કર્યો જ નથી. એક કોશી જીવથી માંડીને આજના માનવી સુધી ઉત્ક્રાંતિ થતા કરોડો વર્ષો નીકળી ગયા છે. રિચાર્ડ ડોકિન્સ કહે છે આપણા પૂર્વજ માછલી હતા અને પ્રાચીન ભારતીયો કહે છે ભગવાનનો પહેલો અવતાર માછલી રૂપે આ બે વાતમાં કેટલું બધું સામ્ય છે. આ રૂપક આપણે સમજ્યા નહિ અને કહેવાતા બુદ્ધિશાળી વેપારીઓએ સમજવા દીધું નહિ. ભગવાન ગણો કે કુદરત ગણો તેના માટે એક કીડી, એક હાથી અને એક માનવી સરખાં મહત્વના છે. હા ઉત્ક્રાંતિનાં ક્રમમાં વિકાસના ક્રમમાં તમે વધુ બુદ્ધિશાળી છો તેટલા પૂરતા સ્પેશલ છો બાકી કાઈ નહિ.

પેક(pack) થિંકર અને ઇન્ટેલિજન્ટ થિંકરમાં બહુ ફરક હોય છે.

Culture Can Kill :- Shri Subodh Shah

શ્રી. સુબોધ શાહે ‘Culture Can Kill’ નામનું અંગ્રેજીમાં બહુ સરસ આપણને વિચારતા કરી દે તેવું પુસ્તક લખ્યું છે. આ જગત સતત પરિવર્તનશીલ છે. સંસ્કૃતિઓ પણ પરિવર્તનશીલ નાં બને તો ઘાતક પુરવાર થતી હોય છે, અને જો આ પરિવર્તન પ્રોસેસ એટલો બધો ધીમો હોય લગભગ સ્થિર જેવો તો બીજી સંસ્કૃતિઓની સરખામણીએ આપણે વિકાસના ક્રમમાં બહુ પાછળ પડી જતા હોઈએ છીએ. શ્રી. સુબોધ શાહે આપણી ખુદની સંસ્કૃતિ, પરમ્પરા અને માન્યતાઓ આપણા માટે કઈ રીતે ઘાતક પુરવાર થાય છે અને આપણને કઈ રીતે વિકસતા અટકાવે છે તે બહુ સરસ રીતે સમજાવ્યું છે. હવે આ પુસ્તકને વાંચવું સમય માંગી લે તેવું છે; તો શ્રી. સુબોધ શાહે ‘તેજીને ટકોરો’ ન્યાયે એની ચિત્રાત્મક રજૂઆત ખુબ મહેનત લઈને કરી છે. ફક્ત આ ચિત્રો જુઓ, વાંચો અને પુસ્તકનો સાર ગ્રહણ કરો. આ પુસ્તકની પ્રિન્ટેડ કોપી જોઈતી હોય તો અહી ક્લિક કરો Culture Can Killculture can kill new.1culture can kill new.2culture can kill new.3culture can kill new.4culture can kill new.5culture can kill new.6culture can kill new.7culture can kill new.8culture can kill new.9culture can kill new.10culture can kill new.11culture can kill new.12culture can kill new.13culture can kill new.14culture can kill new.15culture can kill new.16culture can kill new.17culture can kill new.18culture can kill new.19culture can kill new.20culture can kill new.21culture can kill new.22culture can kill new.23culture can kill new.24culture can kill new.25culture can kill new.26culture can kill new.27આ ચિત્રાત્મક રજૂઆત અહીં કરવા દેવાની મંજૂરી આપવા

આપણા અસુરક્ષિત વૈજ્ઞાનિકો

bhabha

મુંબઈ  હાઈકોર્ટમાં ચેતન કોઠારી નામના એક એક્ટિવિસ્ટે એમના વકીલ આશિષ મહેતા દ્વારા RTI ની રૂએ એક જાહેર હિતની અરજી કરી છે. એમની અરજી મુજબ ભારતીય પરમાણુ સંસ્થાનમાં કામ કરતા મહત્વના વૈજ્ઞાનિકોના રહસ્મય મોતની તપાસ કરવા એક તપાસ ટીમનું ગઠન થવું જોઈએ.

૧૯૬૬માં ભારતના મહત્વના અણુવૈજ્ઞાનિક ડૉ હોમી જહાંગીર ભાભાનું પ્લેન ક્રેશ થવાથી મોત થયેલું. એમણે એમના મૃત્યુ પહેલા જાહેરમાં કહેલું કે ટૂંક સમયમાં ભારત ન્યુક્લિયર ડીવાઈસ બનાવવા સક્ષમ થશે. માઉન્ટ બ્લાન્ક નજીક સ્વિસની આલ્પ્સ પર્વતમાળામાં એમનું વિમાન તૂટી પડેલું નવાઈની વાત એ કે તૂટી પડેલા પ્લેનનો ભંગાર પણ અદ્રશ્ય હતો. ચાલો તે મૃત્યુ કદાચ અકસ્માત હશે પણ ૨૦૦૯ થી ૨૦૧૩ સુધીમાં DAE (Department of atomic energy) માં કામ કરતા દસ વૈજ્ઞાનિકોના રહસ્યમય મોત થયા છે.

લોકનાથન મહાલીન્ગમ નામના ૪૭ વર્ષના, કર્ણાટકમાં આવેલા એટોમિક પાવર સ્ટેશનનાં(Kaiga atomic power station) સિનીયર સાયન્ટીફીક ઓફિસર, ૮ જુન ૨૦૦૯ ની વહેલી સવારે મોર્નિંગ વોક કરવા નીકળ્યા કદી પાછા ફર્યા નહિ. પાંચ દિવસ પછી એમની વિક્ષત લાશ કાલી નદી નજીકથી મળી. પોલીસે આત્મહત્યાનો કેસ બનાવી દીધો જે એમના કુટુંબીઓને કદી મંજુર નહોતો. ભારતીય મીડીયાએ આ સમાચારને હેડલાઈન સમાચાર બનાવવાનું મુનાસીબ સમજ્યું નહિ. દસ દિવસ પછી ટૂંકા સમાચાર પ્રગટ થયા કે આ એક આત્મહત્યા હતી અને વૈજ્ઞાનિક કોઈ મહત્વના દસ્તાવેજ સાથે ધરાવતા નહોતા.

BARC ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરમાં કામ કરતા બે યુવાન વૈજ્ઞાનિકો ઉમંગસિંઘ અને પાર્થ બાગનું લેબમાં જ કામ કરતા સળગી જવાથી મોત થયું, કે લેબમાં જ્વલનશીલ પદાર્થોની ગેરહાજરી હતી. ડીફેન્સ મીનીસ્ટ્રી આને રૂટીન અકસ્માત ગણાવે છે અને સામાન્ય પોલીસ ઓફિસર જ એની તપાસ કરતો હોય છે.

BARC માં કામ કરતા મિકેનીકલ એન્જિનિયર મહાદેવન પદ્મનાભન ઐયરનું સાઉથ મુંબઈના એમના ફ્લેટમાં ફેબ્રુઆરી ૨૦૧૦મા મોત થાય છે, થોડા લોહીના ડાઘા સિવાય આખું ઘર વ્યવસ્થિત જ હતું, મર્ડર મિસ્ટ્રી હજુ ઉકેલાઈ નથી.

ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રીસર્ચ સંસ્થામાં કામ કરતા ૨૪ વર્ષના યુવાન વૈજ્ઞાનિક મોહમ્મદ મુસ્તુફા નામના વૈજ્ઞાનિકની લાશ એમના ક્વાટરમાંથી મળે છે પોલીસને ડેથ નોટ એમના હાથે લખેલી મળે છે પણ આત્મહત્યા કરવા માટેનું કોઈ કારણ જડતું નથી.

ન્યુક્લિયર પાવર કોર્પોરેશનમાં કામ કરતા રવિ મુલે અને ઉમા રાવનું મોત પણ રહસ્યમય છે. પરમાણુ શક્તિ વડે ચાલતી INS અરીહંત સબમરીનનાં બે એન્જિનિયર કે.કે.જોશ અને અભિષ શિવમ વિશાખાપટ્ટનમમાં એક રેલવે ટ્રેક પર મૃત્યુ પામેલા ઓક્ટોબર ૨૦૧૩મા મળી આવેલા છે. એમના દેહ પર કોઈ રહસ્યમય ચિન્હો  દેખાતા નથી કે ટ્રેન દ્વારા એમના મૃતદેહો કચડાયેલા પણ નથી. એમના કુટુંબીઓનો આક્ષેપ છે કે બીજે ક્યાંક મારી નાખીને અહીં ફેંકી દેવાયા હોવા જોઈએ.

ભારત સરકારે જાતે કબુલ્યું છે કે ફક્ત ત્રણ વર્ષના સમયમાં BARC અને KAIGA માં કામ કરતા વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સનાં થઈ ને કૂલ નવ જણાનાં મોત રહસ્યમય છે જેમાં ફક્ત બે આત્મહત્યા જણાઈ છે બાકીની ખબર નથી પડતી.

બીજા કોઈ દેશમાં આવા વૈજ્ઞાનીકોના મોત થયા હોય તો કલશોર મચી જાય પણ અહીં ચાલી જાય. અહિ શાહરુખને તાવ આવે કે સોનમને સ્વાઈન ફ્લ્યુ થઈ જાય તો ચોક્કસ કલશોર મચી જાય. એક મિત્રે બહુ કડવું સત્ય કહેલું કે ભારતની પ્રજા ડેવલપમેન્ટ ચાહક નહિ એન્ટરટેઈનમેન્ટ ચાહક છે. વિકાસ નહિ મનોરંજન જોઈએ. એટલે જ મનોરંજન આપતા લોકો અહીં તરત હીરો બની જતા હોય છે. લોકોને માનસિક દિલાસા જોઈએ એટલે ઠગ ધર્મગુરુઓ તરત હીરો બની જતા હોય છે. નેતાઓ તો છાશવારે ગમે તેમ બકવાસ કરી મનોરંજન પૂરું પાડતા જ હોય છે. હહાહાહાહાહાહાહ

મનોરંજન જીવનમાં બહુ અગત્યનું છે. એના લીધે આપણે રૂટીન લાઈફના કંટાળાજનક તણાવમાંથી મુક્ત થઈ જતા હોઈએ છીએ. પણ મનોરંજન પૂરું પાડનારાઓને હળવાશથી લેવા જોઈએ. એમને હીરો બનાવી એમની પૂજામાં રત રહેવું કોણે કીધું? અને આ લોકો મફતમાં મનોરંજન તો પૂરું પાડતા નથી અઢળક પૈસા વસુલે છે, અઢળક કમાય છે.

જે દેશ માટે જીવ આપે છે, દેશના વિકાસ માટે રાતદિવસ રીસર્ચ કરીને અને એનો સ્ટ્રેસ વેઠીને પણ કામ કરે છે તેમનો પગાર કેટલો? તેમનું દેશમાં માનપાન કેટલું? તેમની સુરક્ષા કેટલી?

અને જે લોકો પોતાના ફાયદા માટે રમે છે, પોતાના ફાયદા માટે મનોરંજન પૂરું પાડે છે, જેઓ પ્રજાનું હમેશાં શોષણ કરે છે, જેઓ નકલી દિલાસા આપવાની અઢળક કિંમત વસુલે છે તેમનું માનપાન કેટલું બધું હોય છે? એમની આવક પણ કેટલી બધી હોય છે?

આપણા હીરો લુચ્ચા ક્રિકેટર્સ, લફંગા ફિલ્મી ભવાયા, ભ્રષ્ટ નેતાઓ અને ગીધ જેવા ધર્મગુરુઓ છે.

માહિતીસ્ત્રોત: સન્ડે ગાર્ડિયન, ટ્રુથ આઉટ, ધ ન્યુઝ મિનીટ

પ્રીત કિયે સુખ હોય, હમેશાં નહિ…

પ્રીત કિયે સુખ હોય, હમેશાં નહિ…imagesXZNYX2E5

પ્રેમ સુખ આપતી બહુ સુંદર લાગણી છે. તો સાથે સાથે દુઃખ પણ આપે છે તે હકીકત છે. પ્રેમ સુખ આપે છે એનું મુખ્ય કારણ પ્રેમ સામાજિક સુરક્ષા આપે છે. કોઈના પ્રેમમાં હોઈએ કે પ્રેમી જન સાથે બેઠાં હોઈએ ત્યારે તેના ઉપરના વિશ્વાસને લીધે સુરક્ષા અનુભવાય છે ત્યારે બ્રેનમાં પ્રેમ અને વિશ્વાસનું જનક ન્યુરોકેમિકલ ઓક્સિટોસીન સ્રાવ થતાં અનહદ આનંદ અનુભવાય છે. આ જીવનમાં ખૂબ સંઘર્ષ હમેશાં હોય છે. એટલે આપણે તેની સામે લડવા આપણા હથિયાર(માનસિક) હમેશાં સજાવેલા રાખવા પડતાં હોય છે. એટલે જ્યારે પ્રેમમાં હોઈએ ત્યારે ઓક્સિટોસીનને લીધે જે સલામતી અને સુરક્ષિત આપણી જાતને અનુભવીએ છીએ ત્યારે સંઘર્ષ સામે સજાવેલા હથિયાર જરા હેઠાં મૂકી દેવાતા હોય છે કે ચાલો હમણાં સલામતી છે માનસિક-બંદૂક હવે જરા ખૂણે મૂકો. તો સાથે સાથે આપણે જ્યારે હથિયાર હેઠાં મૂકીને બેઠાં હોઈએ ત્યારે બ્રેન જરા વધુ સંવેદનશીલ હોય તે સ્વાભાવિક છે. તો આવા સમયે જરાપણ અણસાર આવે જોખમનો, બ્રેન તરત આપણને સચેત કરતું દુઃખ આપતું કે સંભવિત દુઃખનો અણસાર આપતું કોર્ટીસોલ(cortisol) નામનું ન્યુરોકેમિકલ સ્રાવ કરે છે. આવા સમયે પ્રેમીને કે સાથીદારને બ્લેમ કરવા માંડીએ તો પરિસ્થિતિ ખરાબથી વધુ ખરાબ તરફ ગતિ કરવા માંડે છે. મતલબ પ્રેમ વધુને વધુ દુઃખદાયી બનવા લાગે છે.

દાખલા તરીકે એક હરણ એના ટોળામાં આરામથી ઘાસ ચરતું હોય છે. એને ખબર હોય છે કે કોઈ જોખમ આવશે; કોઈ શિકારી પ્રાણી આવશે તો બીજા હરણ તરત ચેતવશે. એટલે તે આરામથી બેફીકર થઈ ઘાસ ચરવાની મજા માણતું હોય છે. સલામત અને સુરક્ષિત હોવાની લાગણી ઓક્સિટોસીનને લીધે અનુભવાય છે. આમ કાયમ ઓક્સિટોસીનની મજા મારવાનું કોને નાં ગમે? પણ મેમલિયન બ્રેન તે માટે ડિઝાઇન પામેલું નથી. અચાનક પેલાં બેફીકર હરણને ચરતું છોડી એને જોખમમાં મૂકી બીજા હરણ આગળ વધી જતાં હોય છે. ટોળું આગળ વધી જતા એકલું પડેલું હરણ કોર્ટીસોલ સ્રાવ વધતાં થોડું ચિંતાતુર થઈ જશે પણ એની આ દુઃખદાયી લાગણી બદલ એના સાથી હરણોને બ્લેમ કર્યા વગર તરત પોતાના થોડીવાર માટે હેઠાં મૂકેલા હથિયાર ઊચકી લેશે મતલબ એલર્ટ થઈ જશે અને ફરી હથિયાર હેઠાં મૂકવાની પળો મળે તેની રાહ જોશે.

ધારી લો કે આપણે વાનર છીએ. વાનરોની એક બહુ મોટી ખાસિયત હોય છે બે ભેગાં થાય એટલે વિશ્વાસ સંપાદન કરવા ગૃમીંગ કરવાનું શરુ. એકબીજાના વાળ ફંફોસીને પરોપજીવી શોધી સીધા મોઢામાં. આમાં પ્રેમ અને વિશ્વાસ સંપાદન કરવાનો મુખ્ય હેતુ હોય છે. આ પ્રેમ દર્શાવવાની એમની આગવી રીત છે. હવે ટોળાનો કોઈ આપખુદ આવીને આપણને ધમકાવે ત્યારે આપણે વિચારીએ કે આપણો સાથી આપણને મદદ કરે આપણી પડખે ઊભો રહે તેવી આશા રાખીએ. પણ દર વખતે એવું બને નહિ. આપણે જેનું ગૃમીંગ કરતા હોઈએ તે મેદાન છોડી ભાગી પણ જાય આપણને એકલાં મૂકીને અને આપણે પેલાં આપખુદ સામે જાતે જ પોતાનું રક્ષણ કરવું પડે. ત્યાર પછી આપણે હવે શું કરીશું? વાનર હોઈશું તો નવો સાથીદાર શોધી લઈશું.

પણ આપણે માનવો બીજા મેમલ્સની કમ્પેરીજનમાં બહુ કૉમ્પ્લેક્સ સામાજિક વ્યવસ્થા ધરાવીએ છીએ કેમકે આપણી પાસે બીજા મેમલ્સની સરખામણીએ બહુ મોટું વિચારશીલ મગજ છે. મોટાભાગના ચિમ્પેન્ઝી એકાદ આંગળી કે અંગૂઠા ગુમાવી ચૂકેલા હોય છે કારણ આસપાસ ફરતા ખોટાનો વિશ્વાસ રાખી પેલાં એલર્ટ-હથિયાર હેઠાં મૂકીને ફરતા હોય. એટલે ઘણી વખત આપણો પાર્ટનર મુશ્કેલીમાં મદદ કરવા બાજુમાં ઊભો હોય; ઘણી વખત નાં પણ ઊભો હોય. એટલે આપણે ઓક્સિટોસીન આનંદ કાયમ માણવા મળે તેવું ઇચ્છતા હોઈએ છીએ પણ અચાનક હકીકતનું ભાન થાય છે કે આપણો સાથીદાર એની પોતાની અંગત જરૂરિયાતો સહિત કંઈક અલગ વ્યક્તિ છે. ત્યારે ઓક્સિટોસીન લેવલ નીચે જાય છે અને કોર્ટીસોલ લેવલ ઉંચે જાય છે; અહીં પ્રેમ પીડા આપે છે. અને પ્રેમ પીડાદાયક બને ત્યારે આપણે શું કરીશું?

આપણે બચપણ કે યુવાનીમાં આસપાસ જે જોયું હશે, બીજા લોકોને આવા સમયે જે રીતે વર્તણૂક કરતા જોયા હશે તે જાણે અજાણે નિરીક્ષણ કર્યું હશે અને તે નિરીક્ષણ બ્રેનમાં મિરર ન્યુરોન્સ એક્ટીવેટ કરીને બ્રેનમાં એક નાની નાની પગદંડીઓ બનાવતું હોય છે તે પ્રમાણે આપણે આવા સમયે વર્તન કરતા હોઈએ છીએ. દાખલા તરીકે પ્રેમ પીડા આપે ત્યારે પતિ-પત્ની જે એકબીજા ઉપર બ્લેમ કરતા હોય તે ઘરમાં નાના બાળકો જાણે અજાણે જોતા હોય અને તે પ્રમાણે એમના બ્રેનમાં પાથવે બનતા જતા હોય છે. જ્યારે પ્રેમ તેમને પીડા આપે ત્યારે તેઓ પણ તે રીતે જ વર્તન કરતા હોય છે. છતાં જરૂરી નથી કે તેવું જ વર્તન રીપીટ થાય. આપણે ઘણું બધું આસપાસનું નિરીક્ષણ કરીને કંઈક નવું ભણીને, શીખીને, નવું વિચારીને નવા ન્યુરલ રસ્તા બનાવી શકીએ છીએ.

કોર્ટીસોલને મેનેજ કરવાનું અઘરું પડતું હોય છે એના બદલે સાથીદાર હમેશાં આપણે ખુશ રાખે તેવું ઇચ્છવું વધુ સહેલું છે. પણ આ અપેક્ષા કાયમ પૂરી થાય તે જરૂરી નથી એટલે અસ્વસ્થ બની જવાતું હોય છે. એકબીજામાં સમાઈ જવાની મહેચ્છા ન્યુરોકેમિકલ ધક્કો, પ્રેરણા, લાગણીનો આવેગ, આવેશ, ઓચિંતો હડસેલો છે, એ સિદ્ધ નાં થાય, એમાં સફળતા ના મળે તો કશું સમાપ્ત થઈ જતું નથી.

कहा चला ए मेरे जोगी, जीवन से तू भाग केimages0AE20KD0

किसी एक दिल के कारण, यूँ सारी दुनिया त्याग के

छोड़ दे सारी दुनिया किसी के लिए

ये मुनासिब नहीं आदमी के लिए

प्यार से भी जरूरी कई काम हैं

प्यार सब कुछ नहीं जिन्दगी के लिए

तन से तन का मिलन हो न पाया तो क्या

मन से मन का मिलन कोई कम तो नहीं

खुशबू आती रहे दूर ही से सही

सामने हो चमन कोई कम तो नहीं

चाँद मिलता नहीं, सब को संसार में

है दिया ही बहोत रोशनी के लिए

कितनी हसरत से तकती है कलियाँ तुम्हें

क्यों बहारों को फिर से बुलाते नहीं

एक दुनियाँ उजड़ ही गई है तो क्या

दूसरा तुम जहाँ क्यों बसते नहीं

दिल ना चाहे भी तो साथ संसार के

चलाना पड़ता है सब की ख़ुशी के लिए

પ્રેમીજનનાં સાથ સહકાર, સોબત, સાન્નિધ્ય, સમીપતા વડે મળતી સલામતીનો આનંદ ઉઠાવતી વખતે આપણા આંતરિક જોખમ સૂચક વ્યવસ્થા(internal threat-detector) પ્રત્યે જવાબદાર રહેવું કે જેના માટે આપણું બ્રેન આકૃતિ પામેલું છે.

પ્રીત કિયે સુખ હોય, પ્રીત કિયે દુઃખ પણ હોય.

કાબે અર્જુન લુટીયો વોહી ધનુષ વોહી બાણ

કાબે અર્જુન લુટીયો વોહી ધનુષ વોહી બાણuntitled

 

સમય સમય બલવાન, નહિ મનુષ્ય બલવાન કાબે અર્જુન લુટીયો, વહી ધનુષ વહી બાણ.

યાદવોનો અંદરોઅંદર લડીને સર્વનાશ થઈ ચૂક્યો હતો. અર્જુનને સમાચાર મળી ચૂક્યા હતા. અર્જુન પુરપાટ એના પ્રિય સખા કૃષ્ણને મળવા દ્વારકા તરફ ધસી રહ્યો હતો. રસ્તામાં અંદરોઅંદર લડાવી મારવાની માનસિકતા કહેવાય તેવા નારદજી મળ્યા. એમણે અર્જુનને ચેતવ્યો હતો કે કાલે કૃષ્ણ મળે તો સ્પર્શ કરતો નહિ પછી કહેતો નહિ કે તને ચેતવ્યો નહિ, જો કૃષ્ણને સ્પર્શ કરીશ તો એવું બનશે કે મહાન ભારતવર્ષની મહાન જાતિ હમેશાં તને યાદ કરશે, ૫૦૦૦ વર્ષ પછી કેજરીવાલ નામનો આમ આદમી મહાન ભારતીયોનું અસ્પૃશ્ય(સફાઈમાં શરમ)રહેલું ઝાડુ હાથમાં લઈને કોઈ મહારથીને હરાવશે ત્યારે તારું નામ શરમજનક સ્થિતિમાં લેવામાં આવશે.

નારદ તો સુચના આપી જતા રહ્યા. અર્જુન ભાગ્યો, એના પ્રિય સખા, ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ મુશ્કેલીમાં હતા. એક વૃક્ષ નીચે પગમાં કોઈ અજાણ્યા શિકારીએ ભવિષ્યના ભગવાનને પશુ સમજી પગમાં મારેલા બાણને લીધે અત્યંત લોહી વહી જવાથી મરણતોલ હાલતમાં હતા. ભવિષ્યમાં અજરાઅમર તરીકે લાખો વર્ષ પૂજાતા રહેવાના હતા, પણ હાલ મરણાસન્ન હતા તેવા કૃષ્ણને મળવા અર્જુન આતુર હતો. આ અર્જુન મહાભારતનો અદ્વિતીય અજેય યોદ્ધો, એના સારથિ સલાહકાર કૃષ્ણ જેના લીધે, જેમની વાતો લખીને ભારતને ભવિષ્યમાં ૫૦૦૦ વર્ષ પછી પણ મહાન પદ્મશ્રી એવોર્ડ વિજેતા તત્ત્વચિંતકો મળવાના હતા, એ કૃષ્ણને છેલ્લી વાર મળવા દોટ મૂકી રહ્યો હતો.

કૃષ્ણ ઘાયલ પગને બીજા પગ પર ચડાવીને વૃક્ષ નીચે બેઠા હતા. સર્જરી કરીને ટાંકા લઈને બચાવી લે તેવા શુશ્રુતને જન્મ લેવાને હજુ ઘણી વાર હતી. કૃષ્ણ અર્જુનને જોઈ હરખાઈ ગયા કહે મને છેલીવાર સરસ મજાનું હગ(આલિંગન) આપી દે. અર્જુનને નારદની સૂચના યાદ હતી તેણે સ્પર્શ કરવાની એજ યુજુઅલ ભારતીયની જેમ ના પાડી દીધી ભવિષ્યમાં તો ભવિષ્યમાં પણ બદનામ થવાનું ના પાલવે. કૃષ્ણ પણ ચાલાક હતા કહે કોઈ વાંધો નહિ ખાલી તારા બાણ વડે મારા આ ‘ઘા’ ને જરા ખોતરી આપ બહુ ખંજવાળ આવે છે. અર્જુનને થયું ક્યા જાતે સ્પર્શ કરવાનો છે? એના બાણ વડે પારધી વડે કરાયેલા ઘા ને ખોતરી આપ્યો. બસ એટલામાં કૃષ્ણ એમની રમત રમી ગયા.

યાદવોનો એડલ્ટ પુરુષવર્ગ તો નાશ પામી ચૂક્યો હતો. બાળકો અને યાદવોની વિધવાઓને લઈને અર્જુન હસ્તિનાપુર તરફ જઈ રહ્યો હતો. એનું અજેય ગાંડીવ એની પાસે હતું. પણ રસ્તામાં કાબા જાતિના લુટારુ મળી ગયા અને અર્જુનને લુટી ગયા. કહેવાય છે બાણ વડે કૃષ્ણના ઘાવને ખોતરતા માયાવી કૃષ્ણે અર્જુનના બાણમાંથી રહસ્યમય શક્તિઓ શોષી લીધી હતી હવે બાણ કોઈ કામનું રહ્યું નહોતું. સમય બળવાન છે માણસ નહિ. કૃષ્ણની આ શીખ આપણે હજુ યાદ રાખતા નથી.

કાબાનો તળપદી ભાષામાં એક અર્થ ચતુર પણ થાય છે. નરેન્દ્ર મોદી રાજકારણમાં કાબો ગણાય છે તો અર્જુને કાબાને પછાડ્યો કે તુચ્છ ગણાતા એવા કાબા કેજરીવાલે મોદી જેવા મહારથી અર્જુનને લુટી લીધો દિલ્હીની ચૂંટણીમાં કહેવું મુશ્કેલ છે. પણ એક વાત ચોક્કસ છે કે હવે જનતા બહુ હોશિયાર થઇ ગઈ છે, તમારી રેલીઓમાં આવશે, તમારો દારુ પી જશે, તમારી વહેચેલી ભેટ સોગાદો ખાઈ જશે પણ વોટ તો એના ગમતાને જ આપશે. હું તો કાયમ લખતો હોઉં છું કે તમારા ન્યુરોન્સ ઉપયોગમાં લો, એને જાગૃત કરો આ નેતાઓ વચનો આપે તેના પર ભરોસો કરશો નહિ, એ પછી કેજરીવાલ હોય કે મોદી.

કાળા નાણા અને ભ્રષ્ટાચારને મુદ્દે તમામ નેતાઓ વચનો આપતા હોય છે. પણ પ્રજાએ સમજી લેવું જોઈએ કે આ ઠાલાં વચનો જ છે. કરપ્શન આપણી સંસ્કૃતિ છે. કરપ્શન ઈઝ સર્ક્યુલેટેડ ઇન અવર બ્લડ. મને મારું કરપ્શન જરાય દેખાય નહિ સામેવાળાનું જ દેખાય તે હકીકત છે. સવારે પહેલા ઉઠીને ભગવાન સામે પ્રસાદ ચડાવી પ્રાર્થના કરીને આપણા ભ્રષ્ટાચારની શુભ સવાર શરુ થાય છે ત્યાં દેશમાંથી કરપ્શન દૂર કરવાની કે થવાની આશા રાખશો જ નહિ અને એવી આશા કોઈ બંધાવે તો માનશો જ નહિ. આમ આદમીથી માંડીને અંબાની સુધીના આપણે સહુ કરપ્શનમાં રચ્યા પચ્યા જ રહીએ છીએ. કરપ્શનનો એક જ ઉપાય છે તેને કાયદેસર બનાવી દો.

મોદી બહુ સારા રાજકારણી છે, હવે સારા રાજકારણીની વ્યાખ્યા દરેકની અલગ હોય તે વાત જુદી છે. પ્રેમ અને યુદ્ધમાં બધું વાજબી છે એ મુજબ ચૂંટણી જીતવી એક જાતનું યુદ્ધ જ છે. અને એ યુદ્ધ જીતવા બધા રાજકારણીઓ બધું ગેરવાજબી કરતા હોય છે, જે વાજબી ગણાતું હોય છે. પણ દરેકની એક લીમીટ હોય તેમ ગેરવાજબી કરવાની પણ એક લીમીટ હોય. ભાજપને અઢળક વોટ મળ્યા તેમાં ભાજપની સફળતા કરતા કોંગ્રેસની નિષ્ફળતા વધુ કામ કરી ગઈ હતી. પ્રજાને કોઈ વિકલ્પ જોઈતો હતો અને અને ભાજપા સિવાય બીજો કોઈ વિકલ્પ જડતો નહોતો. એમાં મોદીના કરિશ્મા કરતા કરિશ્મા ગુમાવી ચૂકેલી કોંગ્રેસની નેતાગીરી વધુ જવાબદાર હતી.

પક્ષ મહાન એના કાર્યકરોથી હોય છે. આખી જીંદગી જાત ઘસી નાખી હોય પક્ષ માટે એવા પક્ષના નિષ્ઠાવાન પાયાના કાર્યકરો અને પાયાના નેતાઓની અવગણના કરવી અને કદી વફાદાર રહેવાના નાં હોય એવા પાટલી બદલુઓને ફક્ત ચૂંટણી જીતવાનો એજન્ડા લક્ષમાં રાખી માથે ચડાવીએ તો લાંબા ગાળે બહુ મોટું નુકશાન કરે જ. જેમ સારો અર્થશાસ્ત્રી સારો વડાપ્રધાન સાબિત થતો નથી તેમ સારી પોલીસ ઓફિસર ચૂંટણીજીતું સાબિત થાય તે જરૂરી નહોતું. કિરણ બેદી જરૂર સારું કામ કરી શક્યા હોત પણ સારું કામ કરવા માટે સત્તા પર આવવું પણ જરૂરી હતું. અને તે માટે ચૂંટણી જીતવું જરૂરી હતું. આખી જીંદગી ઉચ્ચ પોલીસ ઓફિસર તરીકે કામ કર્યું હોય એટલે સ્વાભાવિક તોછડાઈ અને આપખુદ હોય. મોદી ભલે ભાષણો કરતા અતિશય નમ્ર લાગતા હોય એમની તોછડાઈ અને આપખુદ વલણ તો એમની સાથે રોજ કામ કરતા લોકોને જ ખબર હશે. પણ તે ગ્રેટ અભિનેતા છે. અને એ પણ હકીકત છે કે આપખુદ બન્યા વગર નીચેના માણસો પાસે તમે જરૂરી કામ લઈ પણ નાં શકો.

ખેર! અમે નાના હતા ત્યારે ઉતરાણ ઉપર હું જોતો કે અમુક પતંગ આકાશમાં એટલા બધા ઉંચે હોય કે કપાયા પછી વધુ ને વધુ ઉપર જતા હોય. અમારો મિત્ર રાજુ બ્રહ્મભટ્ટ કહેતો કે આ પતંગ બીનહવામાં જાય છે. મતલબ હવા નાં હોય તેવા આકાશના ઉપરના ભાગે જતો જાય છે. હવે ભાગ્યેજ ધરતી પર પાછો આવે. એટલે પતંગ એટલો બધો દોર છોડીને ઉંચો ચગાવવો નહિ કે કપાયા પછી બીનહવામાં જતો રહે. પ્રજાએ વોટ આપ્યા છે છાપરે ચડી પતંગ બીનહવામાં ચગાવવા માટે નહિ. પ્રજાએ વોટ આપ્યા છે ધરતી સાથે જોડાયેલા રહીને આમ આદમીના કામ કરવા માટે, આમ આદમીની વ્યથા સમજી એમને જીવવા સહારો આપવા માટે.

આમ આદમીનું કામ કરવા થોડા વિશિષ્ટ આદમી બનવું જરૂરી છે. આશા રાખીએ મોદી જરા છાપરેથી નીચા ઊતરે અને કેજરીવાલ થોડા વિશિષ્ટ બને. બંને માટે ભારતની જનતાને બહુ મોટી આશાઓ છે. એમાં બંને ખરા ઊતરે તેવી શુભેચ્છાઓ..

કાળા મરી: ભક્તિસંપ્રદાયે ભારતની ઘોર ખોદી છે. કોઈના પ્રશંસક બનવું જરાય ખોટું નથી પણ ભક્ત અને તે પણ અંધ ભક્ત બનવું તે ભક્ત અને એના ભગવાન બંને માટે નુકશાનકારક છે.

 

ઠંડી કાતિલાના

ઠંડી કાતિલાના15488_10203735031228965_8331100254368700496_n

ઠંડી જુવાનીમાં ઓછી લાગે ઘડપણમાં વધુ લાગે. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ તરફ જેમ જેમ આગળ વધતા જાઓ તેમ શિયાળામાં ઠંડી વધુ ને વધુ લાગતી જાય. એટલે વડોદરા કરતાં અમદાવાદમાં ઠંડી વધુ લાગે અને ડીસામાં એનાથી પણ વધુ લાગે. અમારે અહિ ન્યુ જર્સી કરતા ફક્ત ૪૫ માઈલ ઉપર ન્યુયોર્ક શહેર હશે પણ ન્યુ જર્સી કરતાં ન્યુયોર્કમાં ઠંડી વધુ હોય. ઠંડી વધુ અને ઓછી લાગવાનાં અનેક ભૌતિક, ભૌગોલિક અને શારીરિક કારણો હોઈ શકે છે. માનવ શરીરમાં અનુકૂલનની અદ્ભુત ક્ષમતા હોય છે. માનવી અતિશય ગરમીમાં અને અતિશય ઉત્તર ધ્રુવની ઠંડીમાં પણ રહી શકે છે. બીજા પ્રાણીઓ આવું અનુકૂલન કરી શકતાં નથી. બીજાં પ્રાણીઓ તો એમનો ભૌગોલિક વિસ્તાર ગુમાવે તો પણ સર્વાઈવ થઈ શકતાં નથી, જ્યારે માનવી ઉત્તર ધ્રુવ થી માંડી દક્ષિણ ધ્રુવ સુધી વસી ચૂક્યો છે.

મારું ગામ માણસા અમદાવાદ થી ઉત્તરમાં ૬૦ કિલોમીટર દૂર હતું તો વડોદરાથી માણસા શિયાળામાં આવતા સંબંધીને ઠંડી વધુ લાગતી. તે સમયે મને નવાઈ લાગતી. શરીરની અનુકૂલન ક્ષમતા અદ્ભુત છે માટે તમે જેટલું વાતાવરણથી ટેવાઈ જવાની હિંમત ધરાવો તેટલું શરીર અનુકૂળ થઈ જતું હોય છે. છતાં ઉંમર વધતાં એમાં ગરબડ થઈ જાય છતાં મને એક પ્રશ્ન થાય છે કે ઉત્તર ધ્રુવમાં રહેતાં લોકો ઘડપણમાં ક્યાં જતાં હશે?

શ્વેત કરતાં અશ્વેત લોકોને ઠંડી વધુ લાગતી હોય તેવું પણ જોયું છે. અનુકૂલન પણ બે પ્રકારનું હોઈ શકે એક તત્કાલીન અને બીજું જિનેટિક. એટલે અશ્વેત લોકો જિનેટિકલી ઠંડી માટે ઓછાં ટેવાયા હોય તેવું લાગે છે. એટલે અહિ શિયાળામાં અને બરફ વર્ષા વખતે શ્વેત લોકો આરામથી થોડા ઓછા કપડાંમાં ફરતાં હોય ત્યારે અશ્વેત લોકો અઢળક કપડાં ચડાવીને ફરતાં જોવા મળે છે.

10687089_10203729129361422_3646938033259253686_nપૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં રહેતાં યુરોપ, ચાઈના અને નૉર્થ અમેરિકન લોકો વધુ ગોરા હોય છે જેમ વિષુવવૃત તરફ જતાં જાઓ તેમ લોકો વધુ ને વધુ અશ્વેત જોવા મળે છે. એટલે સામાન્યતઃ ગોરા લોકોને ઠંડી ઓછી ગરમી વધુ લાગે તો અશ્વેત લોકોને ઠંડી વધુ અને ગરમી ઓછી લાગે. મૂળ ઠંડા પ્રદેશોમાં રહેતાં લોકો ગોરાં વધુ હોય અને ગરમ પ્રદેશોમાં રહેતાં લોકો કાળા વધુ હોય. ગરમ પ્રદેશોમાં સૂરજ મહારાજની ઉપસ્થિતિ વધુ હોય છે જ્યારે ઠંડા પ્રદેશોમાં સૂરજ મહારાજની હાજરી ઓછી હોય છે. એટલે જ્યાં સૂરજ મહારાજ વધુ પડતા રહેતા હોય ત્યાં સૂરજ મહારાજ ચામડી દ્વારા શરીરમાં વધુ ઘૂસી કેન્સર જેવું જીવલેણ નુકશાન નાં કરે માટે મેલેનીન કલર-પીગમેન્ટ ચામડી ઉપર વધુ વિકસ્યા હોય એટલે માનવી કાળો દેખાય. તો ઠંડા પ્રદેશોમાં આમેય સૂરજદાદા વધુ રહેતા નાં હોય ત્યાં લોકોમાં ચામડી ઉપર કલર પીગમેન્ટ ઓછાં વિકસે જેથી દાદા શરીરમાં વધુ ઘૂસ મારી શકે અને વિટામિન ડી ની ઊણપ પૂરી કરી શકે, તો આવા લોકો ગોરા વધુ દેખાય. એટલે કાળા લોકો કદરૂપાં અને ગોરા લોકો રૂપાળા તેવી આપણી સરેરાશ માન્યતા સરસર ગલત છે.

હવે કલર પીગમેન્ટ ઓછા ધરાવતા ગોરા સ્વાભાવિક ગરમ પ્રદેશમાં આવી જાય તો એના શરીરમાં સૂરજદાદા વધુ ઘૂસી જાય તો એને ગરમી વધુ લાગવાની જ છે. વિટામિન ડી ની ઊણપ પૂરી કરવા ઠંડા પ્રદેશોમાં રહેતા ગોરા લોકો ઉનાળામાં સૂર્ય જેટલો શરીરમાં ચામડી દ્વારા વધુ ઘૂસે તેટલો વધુ સારો માની નહિવત્ કપડા પહેરીને ફરતાં હોય છે જે આપણને નિર્લજ(લાજ-શરમ વગરનાં) લાગતાં હોય છે. ઉનાળામાં ગોરા લોકો દરિયા કિનારે બીચ પર ઓછામાં ઓછાં કપડા પહેરી પડી રહેતાં હોય તેનું મુખ્ય કારણ સૂર્યના કિરણો વધુ ને વધુ શરીરમાં અંદર લેવાની માનસિકતા હોય છે. એમાં કોઈ શરીર પ્રદર્શન કે સેક્સુઅલ વૃત્તિ હોતી નથી. બાર મહિનામાં માંડ બે મહિના સૂર્ય દેખાયો હોય એટલે વધુ ને વધુ એનો ઉપયોગ કરી લેવો તે માનસિકતા હોય છે. પણ આપણને શિયાળામાં આશરે છ મહિના પગની પાની પણ નાં દેખાય તેવા સંપૂર્ણ કપડા પહેરી ફરતી ગોરી પશ્ચિમની નારી દેખાતી નથી પણ બેત્રણ મહિના ઓછાં કપડાં પહેરી ફરતી નિર્લજ નારી જ દેખાતી હોય છે. આપણે ત્યાં તડકો નીકળે ત્રાસી જવાય છે જ્યારે અહીં તડકો નીકળે વેધર ઉત્તમ છે તેવું માની લોકો ખુશ થઈ જતાં હોય છે અને ઓછાં કપડાંમાં દોડવા માંડતા હોય છે.10361329_10203735031668976_3186288211284170245_n

આપણે ત્યાં ૧૫ ડિગ્રી તાપમાને ઠંડી લાગવા માંડતી હોય છે ૯ ડિગ્રી તાપમાને એનો કાતિલ અનુભવ થવા લાગતો હોય છે. અહિ અમે માઈનસ ૧૫ ડિગ્રી સુધી આરામથી સહન કરી લેતાં હોઈએ છીએ એમાં કોઈ ધાડ મારતા નથી. એનું મુખ્ય કારણ એ હોય છે કે રોજનું રહ્યું તો એની તૈયારી પણ રોજની હોય છે. આપણે ત્યાં આટલી ઠંડી પડે નહિ તો આપણે ત્યાં એનો સામનો કરવાની તૈયારી પણ સ્વાભાવિક હોય નહિ. હું ગુજરાતમાં હતો ત્યારે શિયાળામાં બાઈક ઉપર જવું હોય ત્યારે જ સ્વેટર વગેરે પહેરતો. બાકી એક સારું સ્વેટર કે ગરમ જૅકેટ ખરીદવાનું પણ યાદ આવતું નહિ. જ્યારે અહિ એના માટે પૂરતી તૈયારી હોય છે. ઉનાળા માટે અલગ કપડાં અને શિયાળા માટે અલગ કપડાં. જરૂરિયાત બધું શીખવી દેતી હોય છે. તો ડીઝાસ્ટર મૅનેજમેન્ટ પણ એટલું જ સજ્જ હોય તે સ્વાભાવિક છે. બરફ વર્ષા થવાની હોય તે પહેલા એની સચોટ કલાક મિનિટ સાથેની આગાહી મુજબ એનો સામનો કરવાની તૈયારી પણ એટલી જ હોય છે. રોડરસ્તા પર મીઠું છંટાઈ જાય. બરફ પડતો હોય અને અમુક જગ્યાએ એને ઉલેચવાનાં વાહનો ફરતાં થઈ જાય. સરકારી તંત્ર અને લોકો પણ એટલાં જ સજ્જ હોય એટલે જનજીવન જરાય ખોરવાય નહિ. લોકો આરામથી કામ પર જતાં રહે. અમેરિકા તો એનું એજ છે પણ નૉર્થ અમેરિકાના રાજ્યો બરફ વર્ષા સામે નીપટાવી લેવા સજ્જ હોય તેટલાં સાઉથ અમેરિકાના ફ્લોરીડા કે ટેક્સાસ જેવા રાજ્યો સજ્જ નથી હોતાં. કારણ સાઉથનાં આવા રાજ્યોમાં ભાગ્યેજ બરફ પડતો હોય.

એક જાડું સ્વેટર જેવું કપડું પહેરવું તેના કરતાં બે પાતળા કપડાં ઠંડીને વધુ રોકી શકે. ઠંડીથી બચવા શરીર ઉપર કપડાના પડ વધારે એટલી ઠંડી વધુ સારી રીતે રોકી શકીએ. શિયાળામાં મારી સાથે જૉબ કરતા હતા તે અમદાવાદના જ્યોતિન્દ્ર્કાકા કમરથી નીચે ઉપરાઉપરી પાંચ કપડાના લેયર ચડાવે અને કમરથી ઉપર પણ એટલાં જ લેયર હોય. પૂછીએ એટલે પાછા ગર્વથી ગણી પણ બતાવે. અમે બધા ખૂબ હસતા. કમરથી નીચે એટલાં બધા લેયરની ખાસ જરૂર પડે નહિ.

1604874_10203729129801433_7339034711271673677_nઅહીંના મકાનોની બાંધણી પણ ઠંડીને બહાર જ રોકી રાખે તેવી હોય છે. પ્લિન્થ લેવલ પછી આખું મકાન લાકડાનું જ હોય છે. દીવાલો પણ લાકડાની. લાકડું પણ આર્ટીફીસીયલ દેશી ભાષામાં કહીએ તો ભુસાનું બનાવેલું હોય. કંકાસીયો પતિ દીવાલમાં મુક્કો મારે કે કજીયાળી પત્ની ગુસ્સામાં દીવાલમાં માથુ પછાડે તો ભુસમાથી બનેલા પાટિયાની દીવાલમાં ગોબો પડી જાય. પણ અહીંના ઘર પેટીપૅક કોમ્પેક્ટ હોય છે. બારી બારણાં એકદમ સજ્જડ બંધ રહી શકે. છતાંય આપણા ગુજરાતીઓ બારીઓની ફ્રેમ અને દીવાલ જોડે સાંધો હોય ત્યાં તમામ જગ્યાએ લાંબી લાંબી ટેપ મારી દેતા હોય છે. મકાન લગભગ સેન્ટ્રલ ઓટોમેટીક હિટીંગ સિસ્ટિમ ધરાવતાં હોય. તમારે ફક્ત તાપમાન કેટલું જોઈએ તે સેટ કરી દેવાનું. ઘર બંધ કરીને જઈએ ત્યારે પણ પાણીની પાઈપોમાં પાણી થીજી નાં જાય તેટલું તાપમાન તો સેટ કરીને જ જવું સારું.

અહિ હજુ તાપમાન ફેરનહીટમાં મપાય છે. ૩૨ ફેરનહીટ એટલે ૦ સેલ્સિયસ. એટલાં તાપમાને પાણી બરફ બની જાય. હવે ૦ ફેરનહીટ એટલે -૧૭.૭૭ સેલ્સિયસ. દેશમાંથી પહેલીવાર આવો ત્યારે પ્રથમ શિયાળો ખૂબ ઠંડી લાગે પછી ટેવાઈ જવાય. બરફ વર્ષા પહેલીવાર જોઇને ખૂબ આનંદ સાથે અચરજ પણ થાય. બરફમાં ચાલવામાં અને કાર ચલાવતા ખૂબ ધ્યાન રાખવું પડે. તાજાં પડેલા બરફમાં તમે ચાલો તો ગબડી નાં જાઓ. પણ બરફ થોડો ઓગળે રોડ રસ્તા પર એનું પાણી રેલાય અને પછી પાછું થીજી જાય તેમાં ચાલ્યા તો ગયા સમજો. કારણ આ રેલાયેલું પાણી થીજી જાય એટલે રોડ રસ્તા પર કાચ જેવું પારદર્શક પડ બની જાય નીચે રોડ રસ્તો સરસ દેખાય. આપણને લાગે સારો રસ્તો છે પણ ઉપરનું કાચ જેવું લીસું પડ તમને ગબડાવી દે. હું નવ વર્ષનો અનુભવી હતો છતાં ગબડી ગયેલો ને હાથે ફ્રેક્ચર થઈ ગયેલું. સવારે જે.એફ.કે. હોસ્પિટલમાં ગયા ત્યારે નર્સ કહે બે કલાકમાં આ નવમો કેસ છે.

ઘડપણમાં ઠંડી વધુ લાગે તેનું મુખ્ય કારણ ઉંમર વધતાં આપણી ચયાપચય ક્રિયા મંદ પડી જવાથી પોષક તત્વોનું દહન બરોબર થઈ શકતું નથી જેથી જરૂરી એનર્જી-ગરમી મળે નહિ. એમાં ચયાપચય માટે થાઈરોઈડ હૉર્મોન બહુ મોટો ભાગ ભજવતું હોય છે. થાયરોઇડની તકલીફ હોય એને ઠંડી બહુ લાગે તો ગરમી પણ બહુ લાગે. ઉંમર વધતાં થાઈરોઈડની તકલીફ પણ થતી હોય છે. અકારણ ઠંડી વધુ લાગતી હોય તો થાઈરોઈડ ચેક કરાવી લેવું સારું. એટલે અહીં વૃદ્ધ થતા જતા લોકો દક્ષિણનાં ફ્લોરીડા તરફ મુવ થઈ જતાં હોય છે. ફ્લોરીડા રિટાયર લોકોના સ્ટેટ તરીકે જાણીતું છે.

ટૂંકમાં માનવ શરીરની વાતાવરણ મુજબ અનુકૂળ થઈ જવાની ક્ષમતા અદ્ભુત છે માટે અમે અહીંના માઈનસમાં તાપમાનના આંકડા મૂકી અમે કેટલા મજબૂત સહન શક્તિ ધરાવીએ છીએ તેવી ડંફાસો મારીએ તો બહુ મન પર લેવું નહિ, તમે ભારતમાં રહેતા મિત્રો અહીં આવો તો તમે પણ જરૂર ટેવાઈ જાઓ આવી કાતિલાના ઠંડીમાં..

નરકારોહણ ઈ-પુસ્તક રૂપે..

10933775_10152489611987271_5595720294995445322_n   પ્યારા મિત્રો,

૨૦૧૦માં લખેલી નર્કારોહણ સિરીઝને ઈ-બુક તરીકે મૂકી રહ્યો છું. ગુજરાતી પ્રાઈડ(ગુજરાતી ઈ-બુક) નામની એપ્લીકેશનમાં આ પુસ્તક વાંચવા અને ડાઉનલોડ કરવા નિશુલ્ક મળશે. તમારા આઈફોન, આઈપેડ અને એન્ડ્રોઇડ ઉપકરણોમાં આરામથી આ એપ ડાઉનલોડ કરી વાંચી શકશો. આ એપમાં એના સંચાલક શ્રી. મહેન્દ્ર શર્મા દ્વારા ઘણા બધા પુસ્તકો મુકેલા છે. એમાં કરણઘેલો, સરસ્વતીચંદ્ર, પૃથ્વીવલ્લભ, સત્યના પ્રયોગો સાથે બીજા અનેક કીમતી પુસ્તકો છે.

Android Link : http://goo.gl/Cq1LgQ …… iPhone Link : http://goo.gl/5ZGSjG

ખાસ તો આ પુસ્તક વડીલ મિત્રો જેમણે મને નવું વિચારતાં શીખવ્યું છે તેવા શ્રી રશ્મિકાંત દેસાઈ, શ્રી સુબોધ શાહ, ડૉ શ્રી દિનેશ પટેલ તથા ડૉ શ્રી અમૃત હઝારી સર્વને સાદર સમર્પિત કરેલું છે.

એની ટૂંકી.

પ્રસ્તાવના

પ્યારા વાચક મિત્રો

પહેલું તો શરૂમાં જ કહી દઉં કે આ એક કટાક્ષ કથા માત્ર છે. કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો એમાં લેશમાત્ર હેતુ છે નહિ. બીજું આખી કથા વાંચ્યા પછી ખ્યાલ આવશે કે આ પુસ્તકનું નામ નરકારોહણ પણ કટાક્ષમાં જ લખાયેલું છે, એટલે નરકારોહણ ટાયટલ વાંચી એકદમ ઉત્તેજિત થઈ જવું નહિ.

મૂળ તો મેં નરકારોહણ નામની દસેક ભાગની સિરીઝ મારા બ્લોગમાં ૨૦૧૦માં લખીને મૂકી હતી. તે સમયે નેટ પર વાંચતા મિત્રોમાં આ સિરીઝ ખૂબ લોકપ્રિય પણ થયેલી. મૂળ આ પુસ્તકની થીમ કઈ રીતે ઉદભવી અને આ સિરીઝ લખવાનું મન કઈ રીતે થયું તે કહું. હું એકવાર મારી ફીજીયોથેરાપિસ્ટ ને ત્યાં ઊભો હતો મારી પછીની મુલાકાતનો દિવસ નક્કી કરવા. ત્યાં એક યુવાન ટીલાટપકાં વાળો પણ ઊભો હતો. રીસેપ્શન પર બેઠેલી છોકરીએ મને પૂછ્યું કે કયા દિવસની અપોઇન્ટમન્ટ આપું સંડે કે મન્ડેની? મેં હસતાં હસતાં કહ્યું સન્ડે હો યા મંડે રોજ ખાઓ અંડે. હું ખાલી મજાકમાં જ બોલ્યો હતો. પણ પેલાં કપાળમાં ટીલાટપકાં કરેલા ભાઈ બોલ્યાં તમારાં જેવાને લીધે અમને શાકભાજી સસ્તાં મળે છે. એમના કહેવામાં ઈંડા ખાવા અને ખાનાર પ્રત્યે એમનો જબરો તિરસ્કાર જણાઈ આવતો હતો. મેં એમની સાથે ચર્ચા કરવાનું ટાળ્યું હતું. એમના કહેવા મુજબ માંસાહારીઓ બધા નરકમાં જવાના.

મને પછી વિચાર આવ્યો કે માંસાહારીઓ બધા નરકમાં જવાના હોય તો ભારતમાં પ્રાચીન સમયમાં લગભગ બધા માંસાહારી જ હતા. આપણા પુરાણ પાત્રો પણ માંસાહારી હતા. વાલ્મીકિ રામાયણમાં ભગવાન રામ પણ હરણનાં શિકાર કરતા અને ભોજન રૂપે આરોગતા એવું સ્પષ્ટ લખેલું જ છે. માંસાહાર નોર્મલ હતો એવા તો અનેક પુરાવા વેદોમાં, પુરાણોમાં, મહાભારતમાં, મનુસ્મૃતિમાં અને બીજા ગ્રંથોમાં છે. એટલે મને વિચાર આવ્યો કે માંસાહારી એવા પુરાણ પાત્રોની મુલાકાત કહેવાતા નરકમાં લઈએ અને એમના ઈન્ટરવ્યું લઈએ અને એને એક કટાક્ષ કથાનું રૂપ આપી એક નવા સંદર્ભમાં કશું લખીએ. મૂળ તો રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર જેવા મહાન પુરુષો સ્વર્ગ-નર્ક વગેરેના મોહતાજ હોતા નથી. આવા પુરુષો જ્યાં ઊભા હોય ત્યાં સ્વર્ગ રચાઈ જતું હતું હોય છે. અરે નરકમાં ઊભા હોય તો ત્યાંથી નરક દૂર ભાગી જાય અને સ્વર્ગ રચાઈ જાય.

એટલે પ્રસ્તાવનામાં વધુ કશું લખ્યા વગર તમામ નેટ ઉપર વાંચતા મિત્રોનો ખુબ આભાર માની મને નરકમાં સાથ આપનાર વડીલ મિત્ર રશ્મિકાંત દેસાઈનો આભાર માની વિરમું છું.

: ભૂપેન્દ્રસિંહ રાઓલ. સ્ક્રેન્ટન, પેન્સિલ્વેનિયા. યુ.એસ.એ. brsinh11@gmail.com  phone +1 732 406 6937