પ્રતિબુદ્ધિવાદ, anti-intellectualism
વિજ્ઞાન ભણવું અને વૈજ્ઞાનિક અભિગમ રાખવો બંને ભિન્ન છે. આપણા વૈજ્ઞાનિકોમાં પણ વૈજ્ઞાનિક અભિગમ હોતો નથી. એટલે એજ્યુકેશન અને વૈજ્ઞાનિક અભિગમ અને રેશનલ અભિગમને કશું લાગેવળગે નહિ. પણ જે દેશોમાં એજ્યુકેશન સાથે વૈજ્ઞાનિક અને રેશનલ અભિગમ છે ત્યાં ધર્મ ચોક્કસ નબળો પડ્યો છે જેવા કે સ્કેન્ડીવિયન દેશો. હિન્દુત્વ જીવન જીવવાની એક રીત એક તરીકો છે તેના બદલે આપણે ધર્મ માની બેઠાં છીએ. મને હિંદુ નિરીશ્વરવાદી કે હિંદુ નાસ્તિક તરીકે ઓળખાવતા જરાય શરમ આવતી નથી. કારણ મારા પૂર્વજ હિંદુ મનીષીઓએ જ દુનિયાને નિરીશ્વરવાદ અને રેશનાલીઝમ શીખવ્યું છે. આપણે ત્યાં લગભગ એન્ટી-ઈન્ટેલેકચ્યુઆલીઝમ ચાલે છે, પ્રતિબુદ્ધિવાદ. બુદ્ધિવાદી હોવું આજના ભારતમાં ગાળ સમાન છે. આપણા લેખકો, કવિઓ, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, શિક્ષકો, શિક્ષણશાસ્ત્રીઓ એવા અનેક કહેવાતા ઈન્ટેલેકચ્યુઅલ ખરેખર એન્ટી-ઈન્ટેલેકચ્યુઆલીઝમમાં માનતા છે. એ આ દેશની બહુ મોટી કમનસીબી છે. આપણે ત્યાં વેદો માન્ય દર્શન શાસ્ત્રોની છ સ્કૂલ હતી. સાંખ્ય જે નિરીશ્વરવાદી હતું, યોગ, વૈશેષિક, ન્યાય, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. ઉત્તર મીમાંસાથી ઈશ્વરભાઈ ઘૂસ્યા છે. કેટલા બુદ્ધિશાળી હતા એ લોકો? ઈશ્વરમાં નાં માનવું, ઈશ્વરનો ઇનકાર પણ વેદો માન્ય હોવાથી આસ્તિક કહેવાતા. કેટલી ઓપનનેસ હતી એ લોકોમાં?
અને આજે? તમે ઈશ્વરની કલ્પનામાં નાં માનતા હો તો તમને નાલાયક સમજવામાં આવે છે ભલે તમે નૈતિક હો. અને તમામ અનૈતિકતાઓ આચરતા હો પગની પાનીથી માથાની ચોટલી સુધી ભ્રષ્ટાચારી હો પણ કૃષ્ણને ભગવાન માનો તો તમે સારા છો. કૃષ્ણ મારે માટે એક મહા માનવ છે, ઈશ્વર થઈને જીવેલો માનવી છે. ભલે કૃષ્ણ માટે મને ખૂબ પ્રેમ હોય પણ જો હું કૃષ્ણને ભગવાન નાં માનું તો મૂર્ખાઓ મને પથ્થર લઈ મારવા દોડશે અને એવા લોકો જે કૃષ્ણ વિષે કશું જાણતા જ નથી.
મુસ્લિમ દેશોની તો વાત જ નાં કરશો. મુસ્લિમ દેશો તો લગભગ સંપૂર્ણપણે પ્રતિબુદ્ધિવાદ (એન્ટી-ઈન્ટેલેકચ્યુઆલીઝમ) તરફ ખેંચાયેલા જ છે. કાશ્મીરના અલગતાવાદી જુઓ. તાલીબાનો જુઓ. પેશાવરની સ્કૂલમાં હુમલો કરી નાના બાળકોને રહેંસી નાખ્યા. ISIS જુઓ, હવે તો આ લોકોએ નાના બાળકોની ત્રાસવાદી સેના બનાવી છે. એમના બ્રેનમાં બુદ્ધિ નામનું કોઈ તત્ત્વ બચપણ થી જ રહેવા દેવાનું નહિ. આ બાળકો પકડાયેલા સૈનિકનું માથું કાપતા જરાય કંપતા નથી. એકલાં ભારતમાં નહિ પણ અમેરિકામાં પણ આવું જ છે. અમેરિકાનો કોંગ્રેસમેન Congressman Paul Broun (R-Ga.)જે પોતે ડૉક્ટર છે, એમ. ડી. છે, વર્ષોથી ડૉક્ટર તરીકે પ્રેક્ટીશ કરે છે તે કહે છે, ‘ઉત્ક્રાંતિ, બીગ બેંગ બધું નરકના ખાડામાંથી આવેલુ જૂઠ છે.’ એના શબ્દોમાં “God’s word is true. I’ve come to understand that. All that stuff I was taught about evolution and embryology and the big bang theory, all that is lies straight from the pit of Hell.” આ ડૉક્ટરનું કહેવું છે બાયબલે કહ્યા પ્રમાણે છ દિવસમાં પૃથ્વીની રચના કરી છે. બીજા એક સેનેટ ઇન્વાયરમેન્ટલ પૅનલના ચેરમેન હાથમાં સ્નોબોલ લઈને ચેમ્બરમાં આવેલા અને કહે ક્લાઈમેટ ચેઇન્જ હોક્સ છે, મજાકમાં કરેલી છેતરપિંડી. આવા ભણેલા પણ ગણેલા નહિ એવા મોટા માથા અમેરિકામાં એન્ટી-ઈન્ટેલેકચ્યુઆલીઝમનાં પ્રણેતા છે. ત્રણમાંથી એક અમેરિકનને તેના વાઈસ પ્રેસિડન્ટનું નામ ખબર નથી.
આપણે જરા વિચારીએ તો કોમવાદ, ભડકાવનારી ધાર્મિકતા બધું નિરર્થક છે. પણ વિચારીએ તો ને? વિચારીએ જ નહિ તો પછી? એટલે જે લોકોને સામાન્ય પ્રજા ઉપર રાજ કરવા છે તે લોકો પહેલું તો પ્રજા વિચારે તે બંધ કરાવશે. કારણ તમે વિચારશો તો એમનું કહ્યું નહિ માનો. તમે દલીલો કરશો. તમે કારણ શોધશો. કાર્યકારણનો સંબંધ શોધશો. અને કોઈ કારણ જડે નહિ તો તમે એમની વાત કે આજ્ઞા માનવા ઇન્કાર કરશો. તો પછી એમના ધંધાનું શું? પણ આ પ્રતિબુદ્ધિવાદ એકંદરે સમગ્ર પ્રજાનો વિકાસ અટકાવશે. તે મૂરખ પ્રજાને ખબર હોતી નથી. જર્મનીમાં હિટલરે તે જ કરેલું. પ્રજાને hyper-patriotism નું અફીણ પિવડાવી દીધું. નાના બાળકો સહિત કાળજું કંપાવી દે, એક બે નહિ ૬૦ લાખ યહૂદીઓને જીવતા શેકી નાંખ્યાં. જો જરા એક બ્રેન ન્યુરોન્સ વાપરી વિચારો તો એક પણ માણસની હત્યા તમે કરી શકો નહિ.
જો તમે તમારા બ્રેન ન્યુરોન્સ વાપરી વિચારો તો એક કીડીને મારવામાં પણ તમને કોઈ તર્ક નહિ દેખાય. અને એવું વિચારવાની ક્ષમતા ધરાવનારને આપણે મહાવીર કહ્યા છે, બુદ્ધ કહ્યા છે. આપણે બધા Anti-intellectualism અને Iintellectualism વચ્ચે ઝોલા ખાતા હોઈએ છીએ. કારણ આપણું એનિમલ બ્રેન સર્વાઈવલ સિવાય બીજી કોઈ ભાષા જાણતું નથી. માટે તે પોતાના સર્વાઈવલ માટે કોઈની પણ હત્યા કરી શકે છે. તમે માની શકો એક માતા પોતાના સંતાનને મારી શકે? લાર્જ કોર્ટેક્સ, મોટા મગજ, વિચારશીલ બ્રેનમાં આ વાત ઊતરે નહિ. પણ બરોડાની પાસેના ગામમાં આવો બનાવ બનેલો જે સંદેશ છાપામાં આવેલો. એક માતાની એના પતિથી છાની એના પ્રેમી સાથેની કામલીલા એના સંતાન વડે અકસ્માતે જોવાઈ ગઈ. પકડાઈ જવાની બીકમાં માતાએ એના છોકરાના પગ પકડી રાખ્યા અને એના પ્રેમીએ પેલાં નાના છોકરાનું ગળું દબાવીને હત્યા કરી નાખી. આ હતું એનિમલ બ્રેન, નાનું મગજ, લિમ્બિક સિસ્ટિમ અથવા મેમલ બ્રેન, જે પોતાના સર્વાઈવલ માટે માતા-પિતા, ભાઈઓ-બહેનો કે સંતાનોની પણ હત્યા કરાવી શકે. મુગલ આજ કરતા હતા. જે બાપે જનમ આપ્યો હોય જે ભાઈઓ સાથે રમ્યા હોય તેની જ હત્યા કરતા. ઔરંગઝેબ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
અર્જુન શું હતો? Anti-intellectualism અને intellectualism વચ્ચે ઝોલા ખાતો હતો. સામે ભાઈઓ, ગુરુ, અને દાદા સહિત સગાઓ જ ઊભા હતા એમની સામે સર્વાઈવલ માટે લડવાનું હતું. એનું લાર્જ કોર્ટેક્સ નાં પાડતું હતું અને એનિમલ બ્રેન લડવા માટે ઉશ્કેરતું હતું. પણ એ વિચારશીલ વધુ હતો માટે કૃષ્ણ સામે દલીલો ઉપર દલીલો કરે રાખતો હતો. એક સમયે સગાઓને મારીને સર્વાઇવ થવા કરતા મોત પસંદ હતું એને. છેવટે રાબેતામુજબ કૃષ્ણે કહી દીધું મામેકં શરણં વ્રજ હું કહું તેમ કર, મારી શરણમાં આવી જા, શંકા કરીશ નહિ, નહિ તો તારો નાશ નક્કી છે. આજે પણ માબાપ સંતાનોને કહી દેતા હોય છે કહીએ તેમ કર બહુ ડાહ્યો થયા વગર. જે દાદાએ ખોળામાં રમાડ્યો હતો તેમની, જે ગુરુએ ભણાવ્યો હતો તેમની એવા તો બહુ બધાની હત્યા એણે કરી. એટલે તો મહાવીર જેવા intellectual ની સમજમાં આ વાત કદી ઊતરે નહિ. અર્જુનની જગ્યાએ મહાવીર હોત તો સામેથી કહી દેત મારે તસુભાર જમીન જોઈતી નથી હું તો આ ચાલ્યો વનમાં. અર્જુનને બુદ્ધિવાદ તરફથી પ્રતિબુદ્ધિવાદ તરફ ઘસડી જનારા કૃષ્ણ ભગવાન કહેવાયા. સર્વાઈવલ માટે ભલે જરૂરી હતું પણ ત્યારથી ભારત બુદ્ધિવાદનું પાકું વિરોધી બની ગયું હોય એવું લાગે છે.
જૂન ૧૭, ૨૦૧૫, Charleston, સાઉથ કેરોલીનામાં એક ચર્ચમાં આવા જ એક કોમવાદી અને રંગભેદીએ નવ લોકોને મારી નાખ્યા. રંગભેદ, કોમવાદ બુદ્ધિહીનતાનું પરિણામ છે. કહેવાતા ભણેલા ગણેલા લોકો પણ પ્રતિબુદ્ધિવાદી હોઈ શકે છે. દેશભક્તિ વખાણવા જેવી છે, પણ અંધ-દેશભક્તિ (hyper-patriotism) હું નથી માનતો કે વખાણવા લાયક હોય. કેટલાક અમેરિકનો અને મોટાભાગના કમજોર ભારતીયો બંને Hyper-patriotism થી પીડાય છે. જિંદગીમાં બંદુક પકડી નાં હોય એક સસલું એ માર્યું નાં હોય એવા ભારતીયો ખાસ દેશભક્તિ અને મારી નાખો કાપી નાખો ની વાતો કરતા હોય છે. ત્યારે મને હસવું આવે છે. મૂરખો લોહીની પિચકારી ઊડશે તો બેભાન થઈને ગબડી પડશો.. હહાહાહાહાહાહ
એક થડા(ગલ્લા) પર બેઠેલા વાણિયાની અહિંસા અને મહાવીરની અહિંસા વચ્ચે આભજમીનનો ફરક છે.
ટ્રેડિશનલ વેલ્યુસનાં વિરોધમાં ફૅક્ટ બેઝ સેક્સ એજ્યુકેશન આપવાનું ચૂકવાથી અમેરિકામાં ટીનેજરમાં પ્રેગનન્સીનું જોર ખૂબ વધ્યું છે. હું પહેલા પણ લખી ચૂક્યો છું. દુનિયાની બે સૌથી મોટી લોકશાહીઓ અમેરિકા અને ભારત બહુ ધાર્મિક છે. અને ધાર્મિક માન્યતાઓ ૯૦ થી ૯૯ ટકા ઇરેશનલ હોય છે, એમાં કોઈ બુદ્ધિ વાપરવાની હોતી નથી. ભણતર અને વૈજ્ઞાનિક સાક્ષરતાનો અંક અમેરિકામાં શરમજનક નીચો છે. તો ભારત અને મુસ્લિમ દેશોમાં તો વૈજ્ઞાનિક સાક્ષરતાનો અંક લગભગ ઝીરો છે. આપણા તો મિસાઇલ મેન તરીકે પ્રખ્યાત વૈજ્ઞાનિક આઠ ચોપડી ભણેલા પરમ મૂરખ સ્વામી પાછળ ગાંડા હોય. એવા વૈજ્ઞાનિકો દેશની યુવાન પેઢીને કયા આદર્શ શીખવશે? એમનું વર્તન યુવાનોને એવું જ અચેતનરૂપે શીખવશે કે ગમે તેટલા મહાન વૈજ્ઞાનિક બનો દેશના પ્રૅસિડેન્ટ બનો પણ એક અભણ મૂરખ અવૈજ્ઞાનિક ખ્યાલો ધરાવતા બાવાના પગમાં પડો. માબાપનું વર્તન જોઇને સંતાનો અચેતનરૂપે બધું શીખતા હોય છે. આવા સેલીબ્રીટીનું વર્તન જોઇને સમાજ શીખતો હોય છે. સમાજ શીખશે, સમાજના યુવાનો શીખશે કે કહેવાતા સ્કીલ્ડ લેબરની જેમ વૈજ્ઞાનિક બનો અને આઠ ચોપડી ભણેલા સમાજને બીમાર બનાવતી માન્યતાઓ ફેલાવતા બાવાના પગમાં પડો.
આપણા તો પીએમ શુદ્ધા બહુ સારા લીડર હોવા છતાં એન્ટી-ઈન્ટેલેકચ્યુઆલીઝમને સપોર્ટ કરતું વર્તન કરશે. પ્રતિબુદ્ધિવાદને અનુસરીને સુખડ-ઘીના દાન કરશે. જાણતા હોય પણ મોટાભાગની પ્રજા જ એન્ટી-ઈન્ટેલેકચ્યુઅલ હોય ત્યાં એને ખુશ રાખવા એશોઆરામ જેવા હરામખોરના પડખે ચડશે. પછી માઇક પકડી એશોઆરામ કહેશે કેવો સરસ મેળ પડ્યો. ધર્મસત્તા અને રાજસત્તા ભેગાં મળે એટલે પ્રજાનો બેડો પાર થઈ જાય. અલ્યા મૂરખ ધર્મસત્તા અને રાજસત્તા ભેગાં મળે તો પ્રજાનું સત્યાનાશ વળી જાય તેની તને ક્યાં ખબર છે? ‘હું તો કેદુ નો કેતો તો મારો શિવો મને મળી ગયો.. શિવો આજે દિલ્હીનાં દરબારમાં છે અને પોતાને સમર્થ સ્વામી રામદાસ જોડે સરખાવનાર જેલમાં. હહાહાહાહાહા
મૂળ તકલીફ છે પ્રજા એના બ્રેન ન્યુરોન્સ વાપરતી નથી, વિચારતી નથી, વિચારવાની પ્રક્રિયા એની સમજમાં જ આવતી નથી. કારણ વિચારવાની બારીઓ જ બંધ કરાવી દીધી હોય. કારણ જો પ્રજા વિચારે તો નેતા અને ધર્મનેતાઓનો ધંધો ચાલે જ નહિ.
કોમવાદ કે રેસિઝમ પ્રતિબુદ્ધિવાદ જ છે. કહેવાતા બુદ્ધિશાળી અને એડ્યુકેટેડ લોકો પણ કોમવાદી હોઈ શકે છે. એનિમલ બ્રેન હમેશાં કોમવાદી જ હોય. કોમવાદ બીજું કશું નહિ એક નાના પાયે સમૂહવાદ જ છે. કારણ મેમલ સમૂહમાં રહેવા જિનેટિકલી ઇવોલ્વ થયેલા છે. અને વસુધૈવ કુટુમ્બક એ લાર્જ-કોર્ટેક્સનો કૉન્સેપ્ટ છે કે આખી દુનિયા આપણો સમૂહ છે અને સર્વ સમાન છે. સામ્યવાદ, સમાજવાદ, આપણે કહીએ કે આપણે બધા સરખાં છીએ. એવરીવન ઇઝ ઇક્વલ. એક ઉચ્ચ આદર્શ ગણીએ તો સારી વાત છે. Equality is an abstraction, and the mammal brain does not process abstractions. આપણા આવા અનેક આદર્શો અમૂર્ત વિચારણા હોય છે. અહિંસા પરમોધર્મ, વસુધૈવ કુટુમ્બકમ અને ઇક્વાલિટી જેવી અનેક અમૂર્ત વિચારણાઓને મેમલ બ્રેઈન પ્રોસેસ કરી શકતું નથી. તેની ભૂખ feel good પૂરતી હોય છે. જ્યાં જ્યાં સર્વાઈવલ દેખાય ત્યાં તે feel good કરતું હોય છે.
જેમ જેમ માનવી ઈન્ટેલેકચ્યુઅલ થતો જાય તેમ તેમ પોતાને વિશ્વમાનવ અને વસુધૈવ કુટુમ્બકમમાં માનતો થઈ જતો હોય છે. ઉમાશંકર જોશી પાછલી અવસ્થામાં પોતાને વિશ્વમાનવ તરીકે ઓળખાવતા. અને મહાવીર જેવા ઍક્સ્ટ્રીમ ઇન્ટેલિજન્ટ તો નાના જીવજંતુમાં પણ પોતાનો અહેસાસ કરતા હોય છે. મેમલ બ્રેન પર અભૂતપૂર્વ કાબૂ મેળવી લે તેને જ જીન કહેવાય અને એવો કાબૂ જેણે મેળવી લીધો હોય તેને જૈન કહેવાય. Mahavira was given the title Jīnā, or “Conqueror” (conqueror of inner enemies such as attachment, pride and greed). બુદ્ધનું પણ એવું જ હતું. તમામ જીવો પ્રત્યે કરુણા એમનો મંત્ર હતો. પણ આ બધું એનિમલ બ્રેન ધરાવતા માનવ જંગલમાં કામનું નહિ જો જીવવું હોય તો. ત્યાં પછી કૃષ્ણ કામ લાગે. પછી તે કહેશે નૈન્મ છીન્દંતી શસ્ત્રાણમ, નૈન્મ દહતી પાવકઃ તો મારો પછી જીવવું હોય તો. અને DNA જીવતા રાખવા હોય તો………




















































