બ્લોગર, ફેસબુક, ટ્વીટર તથા અન્ય સર્વે વાચક મિત્રોનો ખુબ ખુબ આભાર. ૨૦૧૪માં આપ સર્વેનો અઢળક પ્રેમ સંપાદન થયો છે. નવા ૨૦૧૫ના વર્ષમાં પણ મળવાનો જ છે તેની મને ખાતરી છે. The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.
Here’s an excerpt:
The Louvre Museum has 8.5 million visitors per year. This blog was viewed about 72,000 times in 2014. If it were an exhibit at the Louvre Museum, it would take about 3 days for that many people to see it.
હૃદય હચમચાવી દે તેવી કરુણ, તાલીબાનો દ્વારા ૧૩૨ બાળકો સાથે કેટલાક શિક્ષકોને નિર્દયતાથી રહેંસી નાખવાની ઘટના પેશાવરમાં બની તેનાં મૂળિયા બહુ ઊંડા છે. પેશાવર સાથે આખું પાકિસ્તાન પોતાને પાયમાલ થઈ ગયાનું મહેસૂસ કરતું હશે. પાકિસ્તનમાં વસેલા તાલીબાનો મૂળ અફઘાન રેફ્યુજી છે. સાપોને દૂધ પિવડાવી ઉછેરીએ તો શું પરિણામ આવે? આપણે વિચારતાં હોઈશું કે આ સાપોને દૂધ પિવડાવી ઉછેરવાનું પાપ પાકિસ્તાન અને અમેરિકાએ એકલાએ જ કર્યું હશે. પણ એવું નથી, આ પાપમાં બહુ બધા ભાગીદાર છે. પાકિસ્તાન સાથે ચીન, અમેરિકા, યુનાઈટેડ કિંગડમ, સાઉદી અરેબિયા, ઈરાન સાથે આડકતરી રીતે બીજા ૩૪ ઈસ્લામિક દેશો પણ ભાગીદાર છે. સાથે સૌથી મોટું આ પાપમાં ભાગીદાર હોય તો અફઘાનિસ્તાન પોતે અને એને લશ્કરી મદદ કરનાર રશિયા પણ છે. મામા શકુનિ થી માંડી ગઝની, ઘોરી, તૈમુર લંગ, બાબર, અબ્દાલી સુધી જુઓ આ પ્રજાના જિન્સમાં જ હિંસા, ખૂનામરકી, ભારોભાર પડેલી છે. આપણી આસપાસ અમુક કજીયાળા લોકોનો અનુભવ સહુને હશે. આવા લોકોને કજીયો કરવા જોઈએ એટલે જોઈએ જ. લડ કાંતો લડનાર દે એવી માનસિકતા ઘણા લોકોની હોય છે. એકવાર ભૂલી જાઓ કે પાકિસ્તાન અલગ છે, તે આપણા હિન્દુસ્તાનનો ભાગ જ છે એવું ધારી લો, અને વિચારો કે ગઝની, ઘોરી, તૈમુર અને અબ્દાલી જેવાઓએ આ હાલની પાકિસ્તાની પ્રજા ઉપર જુલમ ગુજારેલા જ છે. ખાઈ પીને મજા કરી લો નહીં તો અબ્દાલી આવીને લુંટી જશે એવા મતલબનું એક સુફી ફકીરનું કાવ્યાત્મક વાક્ય પાકિસ્તાનમાં પ્રચલિત હતું. હવે વટલાઈને મુસલમાન બન્યા પછી પાકિસ્તાની પ્રજા એમના પૂર્વજો ઉપર ભૂતકાળમાં અફઘાનો દ્વારા ગુજારેલા જુલમ ભૂલી જાય તેવું બની શકે. નિસાર જેવા પાકિસ્તાની પત્રકારને આ બધું હજુ યાદ છે માટે તે સરેઆમ કહે છે કે તૈમુર-બાબર જેવા કોઈ મહાન નહિ પણ જુલમી માનવ ખોપરીઓનાં મિનારા ચણવાવાળા જુલમી શાસકો માત્ર હતા.
‘નવી પેઢીના મિત્રોને બહુ ખબર હોય નહિ એટલે લખવાનું મન થાય છે.’
૧૯૭૩ સુધી અફઘાનિસ્તાનમાં રાજાશાહી હતી, ૧૯૩૩ થી કિંગ મોહમ્મદ ઝાહિર શાહ અહીંના રાજા હતા જે અમેરિકાના માનિતા હતાં. કિંગના
કિંગ ઝહિર શાહ
પિતરાઈ ભાઈ મોહમ્મદ દાઉદ ખાન ૧૯૫૪ થી ૧૯૬૩ સુધી કિંગના પ્રાઈમ મિનિસ્ટર હતાં. આ વર્ષો દરમ્યાન અહીં માર્કસિસ્ટ પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ઑફ અફઘાનિસ્તાનનું જોર વધવા લાગ્યું હતું. આ PDPA ૧૯૬૭માં બે ભાગમાં વહેંચાઈ ગયેલું નૂર મોહમ્મદ તરકી અને હફીઝુલ્લાહ અમીનની આગેવાની હેઠળ ‘ખલ્ક’ અને બબ્રાક કરમાલની આગેવાની હેઠળ ‘પરચમ’(ફ્લેગ).
કિંગ શાહ કોઈ સારવાર કરાવવા ઇટાલી ગયા હતા ને એમની સામે પુઅર ઇકોનોમિક કંડિશન અને કરપ્શનનાં આક્ષેપો મૂકી ભૂતપૂર્વ પ્રાઈમ મિનિસ્ટર દાઉદ જે કિંગના કઝન હતા તેમણે મિલિટરી પાવર હસ્તગત કરી લીધો ને રાજાશાહીનો અંત આણી દીધો. ભૂતપૂર્વ કિંગ ૨૯ વર્ષ ઈટાલીમાં ગોલ્ફ અને ચેસ રમતા રહ્યા. તે સમયે દાઉદ સામાન્ય પ્રજામાં પૉપ્યુલર હતા પણ PDPAનાં સપોર્ટરમાં અપ્રિય હતા. એવામાં PDPAનાં બહુ મોટા આગેવાન મીર અકબર ખૈબરની રહસ્યમય હત્યા થઈ, એની પાછળ મોહમ્મદ દાઉદનો હાથ હશે માની કાબુલમાં એમના વિરુદ્ધ જબરદસ્ત પ્રદર્શન ભરાયાં હતાં. એના પરિણામે PDPAનાં બહુ બધા નેતાઓની ધરપકડ થઈ.
એપ્રિલ ૨૭, ૧૯૭૮ અફઘાન આર્મી જે PDPA તરફ સહાનૂભુતિ ધરાવતું હતું તેનાં દ્વારા એક ષડ્યંત્ર રચાયું મોહમ્મદ દાઉદની એમના આખા કુટુંબ સાથે હત્યા કરવામાં આવી અને નૂર મોહમ્મદ તરકી PDPAનાં જનરલ સેક્રેટરી હતા તે ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ અફઘાનિસ્તાનનાં વડાપ્રધાન બન્યા સાથે સાથે રેવલ્યૂશનરી કાઉન્સિલનાં પ્રમુખ પણ. નૂર મોહમ્મદ તરકી PDPAનાં પ્રમુખ, જનરલ સેક્રેટરી અને દેશના પ્રધાનમંત્રી એમ ત્રણ હોદ્દે હતાં અને નાયબ વડાપ્રધાન તરીકે હફીઝુલ્લાહ અમીન હતા. પહેલા ૧૮ મહિના તો આ નવા શાસકોએ સોવિયેટ સ્ટાઇલ આધુનિકરણ પ્રોગ્રામ અમલમાં મૂકવાનું શરુ કરી દીધેલું. જે રૂઢિવાદી મુસ્લિમોને ઇસ્લામ વિરુદ્ધનું લાગવા માંડ્યું હતું. લગ્ન વિષયક રિવાજોમાં ફેરફાર, પાવરફુલ જમીનદારોએ ખેડૂતોના માથે ઠોકેલા અતિશય દેવા માફી વગેરે નવા ફેરફાર ૧૯૭૮ના મધ્યમાં નુરીસ્તાન પ્રદેશમાં બળવો શરુ થવાના કારણ બન્યાં. સપ્ટેમ્બર ૧૯૭૯માં પ્રમુખ તરકીની પહેલા ધરપકડ કરી પછી એમની હત્યા કરીને ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર હફીઝુલ્લાહ અમીને સત્તા હસ્તગત કરી લીધી. આમ સરકારોની અસ્થિરતા સાથે એની સામે બળવો પણ વધી રહ્યો હતો. હું ૧૯૭૧માં બરોડા અભ્યાસ કરવા આવી ચૂક્યો હતો. પહેલા સ્કૂલમાં અને પછી કૉમર્સ ફેકલ્ટીમાં મારો અભ્યાસ ચાલતો હતો. સ્વ. વાસુદેવ મહેતા જેવા ધરખમ રાજકીય સમિક્ષકને વાંચવાની મને આદત હતી.
અફઘાન રાજકારણમાં સોવિયેટ રશિયાની અસર બહુ મોટી હતી. ૧૯૪૭ થી અફઘાનિસ્તાન આર્થિક સહાય, લશ્કરી સાધન સામગ્રી, લશ્કરી તાલીમ વગેરે મેળવી રહ્યું હતું. ૧૯૧૯માં એન્ગલો-અફઘાન વોર સમયે પણ રશિયા અફઘાનિસ્તાનને મદદ કરી ચૂક્યું હતું. રશિયા અને અફઘાનિસ્તાન વચ્ચે લશ્કરી મદદના કરાર ૧૯૫૬ અને ફરી ૧૯૭૦માં થયા હતાં. ભારતે પણ એવા મૈત્રી કરાર ૧૯૭૧માં રશિયા સાથે કરેલા હતાં. રશિયાએ અફઘાનિસ્તાનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખડું કરવા ખુબ મદદ કરી હતી. કાબુલ યુનિવર્સિટી, પોલિટેકનીકલ ઇન્સ્ટીટયુટ, હોસ્પિટલ્સ, પાવર પ્લાન્ટ્સ, લોકલ સ્કૂલ્સ, બધું રશિયાની મદદ વડે ખડુ થયું હતું. ૧૯૮૦ની સાલ દરમ્યાન Blakhe, Herate, Takhar, Nangarhar અને Fariyab પ્રાંતોમાં રશિયાએ યુનિવર્સિટીઓ ખડી કરી આપી હતી અને અફઘાન વિદ્યાર્થીઓને ભણાવવા રશિયન વિદ્વાનો સેવા પણ આપતા હતા. અફઘાન વિદ્યાર્થીઓને રશિયન ભાષામાં નિષ્ણાત બનાવવામાં આવી રહ્યાં હતાં. રશિયા અફઘાનીસ્તાનનું રશીયાકીકરણ કરવા માંગતું હતું જે રૂઢીવાદી મુસ્લિમોને મંજુર નહોતું.
બળવાખોરો સામે ટક્કર લેવા પ્રમુખ તરકીએ રશિયાના ચેરમેન કાઉન્સિલ ઑફ મિનિસ્ટર્સ કોસીજીનને લશ્કરી સહાયની વિનંતી કરેલી પણ કોસીજીન તેયાર નહોતા. તેઓએ પ્રેસિડન્ટ બ્રેઝનેવને વિનંતી કરી શરૂમાં તેઓ પણ તૈયાર નહોતા. તરકી અને અમીન બંને પરચમનાં નેતાઓની હત્યાઓ કરે રાખતા હતા. ગમેતેમ કરીને તરકી બ્રેઝનેવને મદદ કરવા સમજાવી શક્યા હતા. બળવો ધીમે ધીમે જોર પકડી રહ્યો હતો. આ બે પ્રમુખોએ ૧૧૦૦૦ જેટલા પરચમ નેતાઓ અને સપોર્ટરને પતાવી દીધેલા તેવું કહેવાય છે. જે રશિયાને ગમેલું નહિ.
૧૯૭૯માં અમેરિકાને સંડોવતો એક દુઃખદ બનાવ બન્યો. સામ્યવાદી વિચાધારા ધરાવતા કેટલાક આતંકવાદીઓએ અફઘાનિસ્તાનમાં અમેરિકન એમ્બેસેડર Adolph Dubs નું અપહરણ કર્યું. આ અપહરણ દ્વારા એમનો ઇરાદો એમના નેતા બદરુદ્દીનને છોડાવવાનો હતો. અમેરિકન સરકારે રશિયા અને અફઘાન સરકારને અપહરણકર્તાઓ સાથે શાંતિથી વાટાઘાટો કરવા વિનંતી કરેલી જેથી એમના એમ્બેસેડર પર જીવનું જોખમ ઊભું થાય નહિ. અપહરણકર્તાઓએ અમેરિકન એમ્બેસેડર Dubs ને કાબુલ હોટેલની રૂમ નંબર ૧૧૭માં રાખેલા. અમેરિકાએ એની એમ્બેસીના ડિપ્લોમેટિક સ્ટાફને વાટાઘાટો કરવા કાબુલ હોટેલ મોકલી આપેલો. અપહરણકર્તા સાથે વાટાઘાટ શરુ થઈ તે દરમ્યાન રશિયન એડવાઈઝરનાં કહેવાથી અફઘાન સિક્યોરિટી ફોર્સે અપહરણકર્તાઓ સામે હુમલો શરુ કરી દીધો એ દરમ્યાન યુ.એસ. એમ્બેસેડર માર્યા ગયા. રશિયા અને અમેરિકા વચ્ચે આ પ્રસંગે તણાવ ખુબ વધારી દીધેલો. આ સાથે ૧૯૮૦નાં અંત સુધીમાં સ્ટ્રોંગ અફઘાન આર્મીના ૮૦,૦૦૦ સૈનિકોમાંથી અડધા કરતા વધુ લશ્કર છોડી ગયા અને કહેવાય છે મુજાહિદ્દીન બળવાખોરો સાથે મળી ગયા.
આ બળવાખોરોનું જૂથ એટલે મુજાહિદ્દીન. મુજાહિદ્દીન ‘પેશાવર સેવન’ અને તેહરાન એઈટ’ એમ મુખ્ય બે જૂથનું સમન્વય હતું. સુન્ની એવા પેશાવર સેવનનાં સભ્યો પાકિસ્તાન અને ચાઇનામાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા. એમને આર્થિક સહાય અમેરિકા, બ્રિટન, અને સાઉદી અરેબિયા કરી રહ્યા હતા. જ્યારે શિયા એવું તેહરાન એઈટ ગૃપ ઈરાન જોડેથી મદદ મેળવી રહ્યું હતું. સુન્નીના સાત ગૃપ અને શિયાના આઠ ગૃપ બધા ભેગાં મળીને અને જુદા જુદા અફઘાન સરકારો સામે લડતા હતા.
શિયા અને સુન્ની રૂઢિવાદી જૂથો એકબીજાના મતભેદ બાજુ પર રાખી રાજાશાહી પછી આવેલી કહેવાતી સેક્યુલર સરકારો સામે લડતા હતા. બીજો પ્રૉબ્લેમ એ હતો કે સત્તા પર રહેવા સરકાર બનાવવા આ સુધારાવાદી સામ્યવાદી વિચારો ધરાવનારા પણ અંદરોઅંદર કાવાદાવા અને હત્યાઓ કરી લડે રાખતા હતા. આ બાજુ અફઘાનિસ્તાનનાં પાડોશી પાકિસ્તાનનાં ભુટ્ટો જેવા નેતાઓએ પણ અફઘાનિસ્તાનની સેક્યુલર સરકારોને દબાણમાં રાખવા ચાલ રમવા માંડી હતી, ખાસ તો જમિયતે ઇસ્લામી સંસ્થાના સભ્યોને ત્રાસવાદ માટે સખત તાલીમ આપવાનું કામ ભુટ્ટોએ શરુ કરેલું. પ્રમુખ તરકીએ અફઘાનિસ્તાનને મૉર્ડન બનાવવા પુરાણી સામંતશાહી નાબૂદ કરવાનું કામ શરુ કરેલું, જુના રિવાજો કાયદા બદલવાનું શરુ કરેલું, એના માટે આધુનિકરણના વિરોધી એવા મુલ્લાઓ અને મુખિયાની હત્યાઓ પણ કરવામાં આવી હતી. પ્રમુખ તરકીએ લગભગ ૨૭૦૦૦ જેટલા રાજકીય વિરોધીઓને પુલ એ ચરખી જેલમાં હણી નાખેલા તેવું કહેવાય છે.
એપ્રિલ ૧૯૭૯ થી થોડી થોડી રશિયન લશ્કરી સહાય તો મળવા માંડી હતી મિલિટન્ટ ગૃપો સામે લડવા. પ્રમુખ તરકીની હત્યા કરાવી પ્રમુખ બનેલા અમીન રશિયાના અફઘાન વફદારોની હત્યા કરાવે છે અને પાકિસ્તાન અને ચીન સાથે સારા સંબંધો બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે તેવો એક રિપોર્ટ કે.જી.બી. એ રશિયાના માંધાતાઓને આપ્યો. અમીનની અમેરિકાના કોઈ નેતા જોડે સિક્રેટ મીટિંગ થઈ છે તેવું પણ રશિયાની જાણમાં આવ્યું. બહુ મોટી મિલિટરી હલચલ થશે તેવું ધ્યાનમાં આવી જતા પ્રમુખ અમીને એમની ઓફીસ તાજબેગ પૅલેસમાં બદલી નાખેલી. ૨૭ ડિસેમ્બર ૧૯૭૯ સાંજે ૭ વાગે ૭૦૦ સોવિયેટ ટ્રુપ્સ અફઘાન યુનિફૉર્મમાં સજ્જ થઈ, ત્રાસવાદીઓ સામે લડતા સ્પેશલ આલ્ફા અને ઝેનીથ ગ્રૂપ તથા કે.જી.બી. સાથે મળીને અફઘાનિસ્તાનની મહત્વની સરકારી, લશ્કરી અને સંદેશા વ્યવહાર, મીડિયા ઈમારતો કબજે કરી ઓપરેશન શરુ કરે છે. ૭:૧૫ તાજબેગ પેલેસ પર હુમલો કરી પ્રમુખ હફીજુલ્લાહ અમીનનો અંત આણી ૨૮ ડિસેમ્બર ૧૯૭૯ ની વહેલી સવારે ઓપરેશન પૂરું. સવારે રેડીઓ કાબુલ પરથી અગત્યની જાહેરાત કે અમીનના જુલમી શાસનમાંથી અફઘાનિસ્તાન મુક્ત, તેમના ગુનાઓ સબબ અફઘાન રેવલૂશનરી સેન્ટ્રલ કમિટી દ્વારા એમનો અંત આણવામાં આવે છે અને કમિટી સરકારના વડા તરીકે બબ્રાક કરમાલની નિમણૂક કરવામાં આવે છે અને સોવિયેટ સરકાર મૈત્રી કરાર મુજબ અફઘાનિસ્તાનમાં લશ્કરી સહાય આપશે. ૧૮૦૦ ટેંક, ૮૦,૦૦૦ સૈનિકો, ૨૦૦૦ હથિયારબંધ લશ્કરી વાહનો સાથે રશિયા હવે અફઘાનિસ્તાનમાં પ્રવેશી ચૂક્યું હતું.
પ્રમુખ રીગન સાથે
૩૪ ઈસ્લામિક દેશો મુસ્લિમ દેશ અફઘાનિસ્તાનમાંથી રશિયા બિનશરતી તાત્કાલિક હટી જાય તેવી માગણી સાથે રશિયાના પ્રવેશને વખોડી કાઢતા ઠરાવો કરે છે યુ.એન. જનરલ એસેમ્બલી ૧૦૪ વિરુદ્ધ ૧૮ વોટે તેને પાસ કરે છે. ભારતે રશિયા જોડે ૧૯૭૧નાં યુદ્ધ વખતે મૈત્રી કરાર કરેલા હતા માટે આપણે રશિયાની વિરુદ્ધમાં વોટ આપીએ તેવું બને નહિ. ખાશોગી, ગદ્દાફી અને એવા બીજા શસ્ત્રોના સોદાગરોને હવે જલસા પડી જવાના હતા. ઇઝરાયેલે અરબો સામે લડતા જે રશિયન બનાવટનાં શસ્ત્રો કબજે કરેલા તે અમેરિકા ખરીદીને મુજાહિદ્દીનને આપવા માંડે છે, ઈજીપ્ત એના લશ્કરમાં અપગ્રેડ કરેલા શસ્ત્રો દાખલ કરી જુના સડેલા શસ્ત્રો મિલીટન્ટની સપ્લાય કરવા માંડે છે. તુર્કી એના બીજા વિશ્વયુદ્ધ વખતનો સ્ટોક બહાર કાઢે છે. બ્રિટન અને સ્વિસ બ્લોપાઈપ મિસાઇલ સપ્લાય કરે છે. ચાઈના પણ શું કામ બાકી રહે? રશિયા સામે આડકતરી રીતે મુજાહિદ્દીનોને મદદ કરી આ બધા દેશો પરોક્ષ રીતે લડાઈમાં ઊતરે છે. બબ્રાક કરમાલ વધુને વધુ મદદ રશિયા જોડે માંગવાનાં જ હતા અને આમ આશરે ૧૦ વર્ષ રશિયા અફઘાનિસ્તાનને ધમરોળવાનું હતું. સામે મુજાહિદ્દીનો એક લાંબું ગેરીલા વોર લડવાના હતા. એક આધુનિક રાષ્ટ્ર નિર્માણ કરવાનું સ્વપ્ન સેવતી સરકારોની રીતરસમો ગલત હતી તો સામે રૂઢિવાદીઓને એમની પ્રાચીન માન્યતાઓ અને સામંતશાહી છોડવી નહોતી.
રશિયાએ મુખ્ય શહેરો કબજે કરી લીધા હતાં તો મુજાહિદ્દીન નાના નાના ગૃપ બનાવી ગેરીલા યુદ્ધ કરી રહ્યાં હતા. દેશનો ૮૦ ટકા ભાગ સરકારના કંટ્રોલ વગરનો હતો. પાકિસ્તાન બાજુના પ્રાંતોમાં રશિયા અને મુજાહિદ્દીન વચ્ચે ભયાનક વોર ચાલી રહ્યું હતું. રશિયન આર્મી અફઘાન આર્મીને મુજાહિદ્દીન સામે લડવા ઊંટની જેમ વાપરતું હતું. અફઘાન આર્મીને ખાલી પગારના ચેક સાથે વધુ મતલબ રહેતો તે પણ હકીકત હતી. રશિયાની ટાર્ગેટ ગામડાના લોકો પણ રહેતા જેથી તે લોકોનો સપોર્ટ મુજાહિદ્દીનને મળે નહિ. ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ભાગો અથવા મોતની ચાદર ઓઢી લો એમ બે જ વિકલ્પ રહેતા. મુજાહિદ્દીનને ઓપરેશન સાયક્લોન હેઠળ અમેરિકા, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, યુનાઈટેડ કિંગડમ, ઈજીપ્ત, ચાઈના ખુબ મદદ કરી રહ્યા હતા. તો મૂળ અફઘાનિસ્તાનનાં નાં હોય તેવા ફોરીન ફાઈટર પણ આ યુદ્ધમાં જોડાયા તેમાં મુખ્ય હતો આરબ ઓસામા બિન લાદેન, ભવિષ્યમાં તેનું ગૃપ ‘અલકાયદા’ તરીકે દુનિયામાં તબાહી મચાવવાનું હતું ખાસ તો એના જન્મદાતા અમેરિકામાં ખુદનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડીને..
ટોમ હેન્ક અને જુલિયા રોબર્ટનું ‘ચાર્લી વિલ્સન વોર’ નામનું એક મુવી આવેલું તે જોવાથી અફઘાન સિવિલ વોર ઉપર ખુબ જાણવા મળશે. સ્ટીંગર મિસાઇલ જે ખભા ઉપર રાખી છોડી શકાય તે મુજાહિદ્દીનને સપ્લાય કરવા માટે ચાર્લી વિલ્સન નામના અમેરિકન કોંગેસમેનની મહત્વની ભૂમિકા હતી. મેં પોતે આ ફિલ્મ જોઈ છે. અમેરિકન સરકારે આના માટે ૭૦ મિલયન ડોલર્સ ફાળવેલા પણ ચાર્લી વિલ્સન ભાઈની મહેરબાની અને જોરદાર રજૂઆતને લીધે તે બજેટ ૭૦ મિલયનને બદલે ૭૦૦ મિલયન મંજૂર થઈ ગયેલું. આ મિસાઇલ દ્વારા રશિયાના હેલીકોપ્ટરનો ખુડદો બોલી ગયેલો. રશિયાને અફઘાનિસ્તાનમાંથી ભગાડી મૂકવામાં આ સ્ટીંગર મિસાઈલનો મહત્વનો ફાળો હતો.
અફઘાન ડ્રેસમાં અસલી ચાર્લી વિલ્સન.
પ્રમુખ કરમાલ ફેઇલ થયા લાગવાથી રશિયાની મહેરબાની થી ૧૯૮૬મા મોહમ્મદ નજીબુલ્લાહ પ્રમુખ બન્યા. ગ્લાસનોસ્ત અને પેરેસ્ત્રોઇકાનાં પ્રણેતા ગોર્બાચોવ રશિયામાં પ્રમુખ બન્યા અને રશિયાએ અફઘાનિસ્તાનમાંથી પીછેહઠ કરવા માંડી. ‘યુદ્ધસ્ય કથા નેવર રમ્યા…’ ૧૫ ફેબ્રુઆરી ૧૯૮૯માં રશિયાની છેલ્લી લશ્કરી ટુકડીએ અફઘાનિસ્તાનમાંથી વિદાય લીધી ત્યાં સુધીમાં અત્યંત ખુવારી થઈ ચૂકી હતી. રશિયાના ટોટલ ૬૨૦,૦૦૦ સૈનિકોએ આમાં સેવા આપી હતી. આશરે ૧૪,૦૦૦ સૈનિકોએ જીવ ગુમાવ્યા હશે. બીજા નુકશાનની વાત જ જવા દો. લગભગ ૧૫ લાખ અફઘાન નાગરીકોએ જીવ ગુમાવ્યા હશે. ૭૫ થી ૯૦ હજાર મુજહીદ્દીનોએ જીવ ગુમાવ્યા હશે. અને એટલાં જ ઘાયલ થયા હશે. ૫૦ લાખ અફઘાનો પાકિસ્તાન અને ઈરાનમાં શરણાર્થી તરીકે ઘૂસી ગયા હશે. ૨૦ લાખ અફઘાનો તો આખી દુનિયામાં રેફ્યુજી તરીકે વસેલા છે.
ડિસેમ્બર ૨૪, ૧૯૭૯ થી ફેબ્રુઆરી ૧૫, ૧૯૮૯, (૯ વરસ, ૧ મહિનો, ૩ અઠવાડિયા અને ૧ દિવસ) રશિયાનું લશ્કર અફઘાનિસ્તાનમાં તબાહી મચાવતું રહ્યું હતું, પણ પછી પોતાનું નુકશાન વધવા લાગતા ભાગ્યું. બંને પક્ષે કોણ સાચું હતું કહેવું મુશ્કેલ છે. પહેલેથી ગરીબ પ્રજા વધુને વધુ ગરીબ બની હતી. જ્યાં પુષ્કળ ગરીબી હોય ત્યાં ધર્મનું જોર વધારે હોય છે, જે છેવટે ધાર્મિક ઝનૂનમાં પરિણમતું હોય છે. પોતાના સર્વાઈવલ માટે આ પ્રજા કશું જુએ નહિ કોઈ નીતિનિયમ પાળે નહિ. નાના નાના બાળકોને હણી નાંખતા પણ વિચારે નહિ. સર્વાઈવલ માટેની આ બેસિક એનિમલ ઇન્સ્ટીન્કટ છે. પહેલાથી જ પશુ જેવી આ પ્રજાને વધુ પશુ બનાવી દેવામાં આવી છે કહેવું મુશ્કેલ છે. રશિયા ભાગી ગયા પછી બીજા દેશોને અફઘાનિસ્તાનમાં કોઈ રસ હતો નહિ. અમેરિકાએ મદદ કરવાનું ક્લિન્ટન સરકારમાં બંધ કરી દીધેલું. આપણે રોજંદા અનુભવમાં જોઈએ છીએ કે કોઈ સગા કે મિત્રને આખી જીંદગી મદદ કરો પણ એક દિવસ મદદ કરવામાં ચૂક થાય તો તે આપણો દુશ્મન બનતા વાર કરે નહિ. બસ એજ માનસિકતાએ આજે મુજાહિદ્દીનો એમને મદદ કરતા મિત્ર દેશોના દુશ્મન બન્યા છે. પાયમાલ થઈ ચુકેલી પ્રજા બીજાને પાયમાલ કરવામાં વધુ રસ ધરાવતી હોય છે. ઉપકાર ઉપર અપકાર કરવો તે આપણા માનવોમાં સહજ હોય છે. જે મુજાહિદ્દીનોને રશિયાના મારમાંથી બચાવવા અમેરિકા અને પાકિસ્તાન પુષ્કળ મદદ કરતા હતા તે મુજાહિદ્દીનો હવે અમેરિકા અને પાકિસ્તાનના દુશ્મન બન્યા છે. એમાં પાકિસ્તાન અને અમેરિકાનો પણ બહુ મોટો વાંક તો હતો જ. કર્યા ભોગવવા પડે તે ન્યાયે નુકશાન તો વેઠવાનું જ હતું. આપણો દંભ એ છે કે રશિયા જોડે લીવ ઇન રિલેશનશીપ હતી એટલે એનો વાંક દેખાતો જ નથી. અમેરિકાના વિસા મળે તો એક મિનીટ દેશમાં ઉભા નાં રહે તેવા દંભીડાઓ સતત અમેરિકાને એક તરફી ભાંડે રાખતા હોય છે. છતાં ફરી લખું કે અમેરિકા આ ગુનામાં ભાગીદાર તો છે જ અને એનાં પરિણામ ભોગવી રહ્યું છે.
‘લડ અથવા લડનાર દે’ એવા આ મુજાહિદ્દીનોને હવે રશિયા સામે લડવાનું રહ્યું નથી અને ત્યાં રશિયામાં લડવા જાય તો ભૂકા બોલાવી નાખે. તો લડવું ક્યાં? એટલે એક હુમલો અમેરિકા સામે વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડી કરી નાખ્યો. અને અમેરિકા પણ વધુ પડતા આત્મવિશ્વાસે માર ખાઈ ગયું. પણ હવે ચેતી ગયું છે ફરી હુમલો કરી શકાય તેવું છે નહિ તો બાકી બચ્યું પાડોશી પાકિસ્તાન.. અને પાકિસ્તાનમાં તો અફઘાનો રેફ્યુજી તરીકે લાખોની સંખ્યામાં છે જ. ભારત તો થોડું દૂર પડે છે બાકી આ તાલીબાનો તરફથી સૌથી વધુ જોખમ અને નુકશાન પાકિસ્તાનને પોતાને જ છે. પાકિસ્તાન માટે હાથના કર્યા હૈયે વાગ્યા છે. આ પશુઓને સખત ટ્રેનીગ પણ પાકિસ્તાને જ આપી છે. મેરી બિલ્લી મુજસે મ્યાઉં જેવું થયું છે. પાકિસ્તાન પોલીસ કે આર્મીના માણસો આ તાલીબાનના હાથમાં આવી જાય તો એના પીઠ પાછળ હાથ બાંધી તલવાર વડે બેધડક એનું ડોકું ઉડાવી દેવામાં આવે છે અને તેનો વીડીઓ ઉતારી તેની સીડી પાકિસ્તાનમાં મફતમાં ફરતી કરી દેવામાં આવે છે જેથી પાકિસ્તાન પ્રજા, પોલીસ અને આર્મીના માણસોમાં દહેશત ફેલાઈ જાય. અમારે તો બસ લડવા જોઈએ પછી સામે રશિયા હોય, પાકિસ્તાન હોય, ભારત હોય કે અમેરિકા જ કેમ નાં હોય? તાલીબાનોથી ભારત કરતા બહુ મોટું જોખમ હાલ પાકિસ્તાન સામે છે. પાકિસ્તાને હવે એમની સામે જંગ માંડ્યો છે જે એક સમયે મિત્રો હતા. અને એના બદલા રૂપે પેશાવરમાં આર્મી સ્કૂલ ઉપર આત્મઘાતી હુમલો કરી ૧૩૨ બાળકોની કરપીણ હત્યા કરવામાં આવી.
આપણે બહુ દંભી માનવજાત છીએ ભલે પાકિસ્તાની હોઈએ કે ભારતીય. મુંબઈમાં ટૅરર ઍટેક કરાવતા પાકિસ્તાન જરાય શરમાતું નથી. અને તેનાં માસ્ટર માઈન્ડ પાકિસ્તાનમાં જલસા કરે. પોતાના નીચે રેલો આવે ત્યારે દુઃખ લાગતું હોય છે. સઈદ હાફિજ જેવા દહેશતગીરો એને વહાલા લાગે છે અને તાલીબાની દહેશતગીરોને ફાંસીએ ચડાવવાનું શરુ કરી દીધું છે. આપણો દંભ જુઓ બોડો ઉગ્રવાદીઓએ ૭૮ લોકોને મારી નાખ્યા સાથે. એક પાંચ મહિનાની ફૂલ જેવી બાળકીના મોઢામાં બન્દુકનું નાળચું ખોસી ગોળી ધરબી દીધી ત્યારે આપણી આંખમાંથી આંસુનું એક ટીપું પડતું નથી અને પેશાવર દુર્ઘટના સમયે બજારમાં મીણબત્તીઓ ખૂટી પડે એટલી દંભી સહાનૂભુતિ દર્શાવી દીધી.
પેશાવરની દુઃખદ ઘટનાના ન્યૂઝ જોતો હતો. પોતાના બાળકોના મૃત્યુ પર અને તે પણ આવા હિંસક કારનામે કોણ દુઃખી નાં હોય? ત્યારે એક ભાઈલો બહુ દુઃખી હ્રદયે ભારે આક્રોશ સહ બોલતો હતો એમાં બે વાક્યો એવા આવ્યા કે મને આંચકો લાગી ગયો. એ કહેતો હતો, ” હમારે બચ્ચે ક્યું? અમરિકા પર હુમલા કરો, કાફીરો કો મારો.” મતલબ શું થાય? કે અમેરિકન બાળકો માર્યા હોત તો વાંધો નહોતો. શું અમેરિકન બાળકો આપણા બાળકો કરતા જુદા છે? શું અમેરિકન માબાપને એમના બાળકો મરે તો દુખ નહિ થાય? શું એક બાળક તરીકે આખી દુનિયાના બાળકો અને એક માબાપ તરીકે આખી દુનિયાના માબાપ સરખાં નથી હોતા? મારા બાળક મરે તો દુખ અને બીજાનું બાળક મરે તો વાંધો નહિ? મૂળ સવાલ આપણી માનસિકતાનો છે. આપણી નીચે રેલો આવે ત્યારે દુખ થતું હોય છે અને બીજા નીચે જતો હોય ત્યારે ખુશી અનુભવીએ તે માનસિકતા હું કે તમે બધા માટે ખોટી છે. આ સોચ જ ગલત છે. આવી સોચ વિરુદ્ધ તમામ લોકોએ અવાજ ઉઠાવવો પડશે. સારા સાચા મુસલમાનોની ચુપ્પી આવા ભયાનક કામોમાં આડકતરી રીતે સંમતિ ગણાય એમાં જ આ જંગલી હિંસક લોકો વકરી ગયા અને ૧૩૨ ફૂલ જેવા બાળકોએ જીવ ગુમાવ્યા.. અને હજુ આ સોચ નહિ બદલાય તો આનાથી વધુ ખરાબ દિવસો સહુએ જેવા પડશે. આજે મુંબઈ તો કાલે કરાચી, આજે પેશાવરની સ્કૂલ તો કાલે દિલ્હીની… યુદ્ધસ્ય કથા કદાપિ ન રમ્યા..
વડાપ્રધાન મોદીએ સ્વચ્છ ભારતનું અભિયાન શરુ કર્યું એનો એક મતલબ એ થાય કે ભારત અસ્વચ્છ છે તેવું એમણે કબૂલ કર્યું. આપણે અસ્વચ્છ છીએ તેવો સ્વીકાર સ્વચ્છતા તરફનું પહેલું કદમ છે, જે મોદીએ ભર્યું છે સાથે સાથે અમેરિકા પ્રવાસ દરમ્યાન એની જાહેરાત પણ કરી દીધી ગર્વથી. સારું છે ધોળીયાઓને હિન્દી બહુ આવડે નહિ..
મેં લખ્યું કે સ્વચ્છતાને સ્વભાવ નહિ બનાવીએ ત્યાં સુધી કોઈ અભિયાન સફળ નહિ થાય. એમાં ઘણા મિત્રો નારાજ પણ થઈ ગયેલા, પણ જય વસાવડા જેવા મિત્રએ એની વાસ્તવિકતા સમજી એનો ઉલ્લેખ એમની કોલમમાં મારા નામ જોગ કરી દીધો હતો. મૂળ વાત છે સ્વચ્છતા આપણા સ્વભાવમાં નથી. બાકી આવા અભિયાન ચલાવવાં પડે ખરાં? ચાલો આના મૂળમાં મુસાફરી કરીએ.
એક દાખલો આપું એનાથી ખ્યાલ આવશે. મોદીના હાર્ડકોર સપોર્ટર એવા એક મિત્ર સ્વાભાવિક હોય કે મોદીના આ સફાઈ અભિયાનને જબરદસ્ત ટેકો આપતા જ હોય. હવે એમણે એક વીડીઓ ક્લિપ મૂકી હતી, વીડીઓ ક્લિપમાં એક યુવાન અમેરિકામાં કોઈ દુકાનમાં મોપ એટલે કે પોતું મારતો હતો. અહીં લાકડાના મોટા દંડે પોતું લગાવેલું હોય છે જેથી ઊભા ઊભા મારી શકાય. હવે આ ભાઈલો વીડીઓ ક્લિપિંગમાં બોલતો હતો કે જુઓ અહિ તો આવા કામ કરવાં પડે છે, અમેરિકામાં કોઈ લહેર નથી. બીજું આ ક્લિપ શેઅર કરનાર મિત્રે ઉપર લખેલું કે એન.આર.આઈ મિત્રોને મરચાં લાગશે.. મૂળ આ ક્લિપ મૂકવાનો એમનો હેતુ એ હતો કે અમેરિકામાં ભારતીયો આવા હલકા સાફ સફાઈ કરવાનાં અને દેશી ભાષામાં કહું તો કચરોપોતા કરવાના કામ કરે છે. એમાં તે મિત્રનો જરાય દોષ નથી કે લગભગ દેશમાં રહેતા બધા ભારતીયો એમના વિદેશમાં રહેતા ભાઈઓ માટે આવું જ વિચારે છે. એક બીજા મિત્ર હમણાં ભારતથી અમેરિકા આવેલા તેમની સાથે વાતચીત દરમ્યાન લાગ્યું કે આ મિત્ર પણ આવી જ માનસિકતા લઈને આવેલા કે અહિ આપણા ગુજરાતીઓ કચરાપોતા જ કરતા હશે બીજું કોઈ કામ કરતા જ નહિ હોય. મને એમનો પણ કોઈ દેખીતો વાંક લાગતો નથી.
હવે મારી વાત ધ્યાનથી સમજો. કચરાપોતા કરવા સાફસફાઈ કરવી એ હલકું કામ કહેવાય તેવી આપણી માનસિકતા ઉપરના બંને દાખલામાં કામ કરે છે, અને આવું હલકું કામ કરનારની કોઈ ઇજ્જત આપણા સમાજમાં છે નહિ. અકસ્માત એ છે કે ઉપર મેં ઉલ્લેખ કર્યો તે વીડીઓ ક્લિપ ઉપર ઉલ્લેખ કરેલા આ બંને મિત્રોએ વારાફરતી શેઅર કરેલી. હવે આ વીડીઓ ક્લિપિંગમાં જે ભારતીય છોકરો આવા હલકા કામ કરવા પડે છે તેવું બોલતો હતો તે પણ આવી જ માનસિકતા ભારતથી સાથે લઈને આવેલો છે કે સાફસફાઈ કરવી આપણું કામ નહિ, હલકું કામ કહેવાય અને અહિ અમેરિકામાં કરવું પડે છે તે કમનસીબી છે.
હવે તમે મિત્રો વિચારો કે સાફ સફાઈ કરવી હલકું કામ હોય તો કોણ કરે? એનાથી સમાજમાં કોઈ ઇજ્જત રહે નહિ તો કોણ કરે? દેશ કેમ અતિશય ગંદો છે તે હવે સમજાય છે? ગંદકી કરવી કોઈ હલકું કામ નથી પણ ગંદકી દૂર કરવી હલકું કામ ગણાતું હોય ત્યાં દેશ કઈ રીતે સ્વચ્છ રહે? અને એમાં પણ જો આવી માનસિકતા આશરે ૫૦૦૦ વર્ષ થી સંસ્કૃતિ સમજીને પાળી રાખી હોય તો દેશ કઈ રીતે સ્વચ્છ બનવાનો?
એટલે મેં એક ઝાડુ પકડેલા બાળકનો ફોટો મૂકીને લખેલું કે ‘સ્વચ્છતાને સ્વભાવ નહીં બનાવીએ તો કોઈ સ્વચ્છતા અભિયાન કામ નહિ લાગે’. આ સ્વભાવ બનાવવાનું હાર્ડ વાયરિંગ બચપણથી જ બ્રેઈનમાં કરવું પડે માટે બાળકનો ફોટો પસંદ કરેલો.
મિત્ર પૃથ્વીરાજસિંહ રાણાએ સરસ લખેલું કે આપણે ત્યાં વર્ણ વ્યવસ્થા પ્રમાણે સાફ સફાઈ કરવાનું કામ શૂદ્રોનું છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય દ્વારા જે કચરો ઉત્પન્ન થાય તે ઉઠાવવાનું કામ ફક્ત શૂદ્રોનું છે. એમના શબ્દોમાં જ જોઈએ તો ‘મોદી સાહેબે લોકો ને સ્વચ્છતા વિષે દોડતા કરી દીધા એ સારી બાબત છે પણ લોકશાહીમાં સ્વચ્છતા એ સ્વયંભુ હોવું જોઈ, કચરો સાફ કરવા કરતા કચરો ના કરવો જોઈ કે જ્યાં નિકાલની વ્યવસ્થા હોય ત્યાં જ કરવો જોઈ એવો પ્રયાસ પણ વર્ષોથી સામાજિક ક્ષેત્રે અનેક લોકો કરે જ છે પણ નિષ્ફળતા મળે છે એનું કારણ એક જ છે કે વર્ણ વ્યવસ્થા આધારિત પદ્ધતિના કારણે કચરો કે ગંદકી સાફ કરવાનું કામ તો શૂદ્રોનું છે આપડે થોડો કચરો સાફ કરીએ? એવો જબરજસ્ત પરાણે ઊંડે સુધી ઘૂસી ગયેલો વિચાર છે ગાંધીએ પણ બહુ સારી રીતે સ્વચ્છતા અભિયાન હાથમાં લીધું હતું અને એને જોર શોરથી ટેકો પણ મળેલો પણ જે લોકો ગાંધી રાજકારણથી અમીર થયા એ બધા પણ જાતિગત કરતા મજદૂરી કે નોકરી કરતા લોકો પાસે જ ગંદકી સાફ કરાવા લાગ્યા. આજે પણ જનમાનસમાં એવી જ વિચારધારા છે કે આપડે અમીર છીએ તો સ્વચ્છતાના ચાહક હોવા જોઈ પણ આપણી કરેલી ગંદકી આપણે પૈસાથી રાખેલો નોકર જ સાફ કરે, નીતાબેન અંબાણી કે સચિન ભાઈ એના ઘરે સ્વચ્છતા રાખવા નોકરોની ફોજ રાખે છે. આમ જનમાનસને લોકશાહીમાં સ્વચ્છતાની અપીલ કરી શકાય પણ એજ પ્રમાણે લોકો કરશે એવું માનવું ભૂલ ભરેલું છે.’
ત્રણ ત્રણ વર્ણ કચરો કરે અને એક જ વર્ણ એને ઉઠાવે તો ક્યાંથી પાર આવે? અને ઉઠાવનાર ઉઠાવે પણ ખરા કે યોગ્ય જગ્યાએ નાખેલો હોય તો ને? હવે ત્રણ વર્ણ ગંદકી કરી ને પણ સ્વચ્છ રહે અને એક જ વર્ણ આખો દિવસ ગંદકી ઊઠાવી ઊઠાવીને સ્વાભાવિક અસ્વચ્છ રહે જેથી તેને અડાય ખરું? કરુણતા એ છે કે અસ્પૃશ્યતા પાછળ ખયાલ તો પાછો સ્વચ્છતાનો જ છે. વળી ગંદકી ઊઠાવવું પાછું હલકું નીચ કામ કહેવાય એટલે એવાં કામ કરનારને પણ અડાય નહિ. સ્વચ્છતા અભિયાનને ટેકો આપનારની માનસિકતા પણ કચરો સાફ કરવો હલકું કામ ગણાય તેવી જ હોય ત્યાં આ અભિયાન કેટલું સફળ થવાનું?
હવે ફરી પેલાં વીડીઓ ક્લિપિંગ વિષે કહું અહીંની સિસ્ટમ પ્રમાણે તો, એમાં પેલો યુવાન દુકાનમાં પોતું મારે છે તે આખો દિવસ કાયમ પોતું નહિ મારતો હોય. એની જૉબ નાનો સ્ટોર હશે તો રજિસ્ટર ઉપર પણ હોઈ શકે. રજિસ્ટર એટલે આપણે ગલ્લો-કૅશિયર કહીએ છીએ તે. નાના સ્ટોર એકલો માણસ સંભાળતો હોય છે અને સવારે કે સાંજે અથવા બંને ટાઈમ સ્ટોરમાં ફટાફટ ઝાડુ મારી પોતું પણ જાતે જ મારી દેતા હોય છે. બહુ મોટા જાયન્ટ વોલમાર્ટ જેવા સ્ટોર હોય તો સફાઈ કરનાર અલગ માણસ પણ હોઈ શકે છે. થોડો મોટો સ્ટોર હોય તો એક કૅશિયર રજિસ્ટર સંભાળે તે દરમ્યાન બીજો કૅશિયર સફાઈ કરી નાખે તેવું પણ થતું હોય છે. અમુક પ્રાઇવેટ ઓફિસોમાં સાંજ પડે સફાઈ કંપનીનાં માણસો એમના આધુનિક સાધનો સાથે આવે અને ફટાફટ બધું સાફ કરી રવાના થઈ જાય. આવી સફાઈ કંપની ઘરમેળે ચાલતી હોય મતલબ પતિપત્ની કે એમના ભાઈબહેન બધા ભેગાં મળીને કામ કરતા હોય. વળી આવી જૉબ સાંજની હોય દિવસે પાછાં બીજું કામ કરતા હોય. મૂળ સાફસફાઈ કરવું અમેરિકામાં કોઈ હલકું કામ ગણતું જ નથી.
હું કૅશિયર એટલે મારાથી પોતું નાં મરાય એવું અહીં કોઈ માનતું નથી. હું માલિક એટલે મારાથી કચરો સાફ નાં કરાય તેવું પણ અહીં નથી. હું મૅનેજર કે સુપરવાઇઝર એટલે મારાથી ઝાડુ નાં મરાય તેવું પણ અહિ હોતું નથી. આપણે ત્યાં ઘરમાં કચરા પોતા કોણ કરે છે? એંઠાં વાસણો કોણ સાફ કરે? લગભગ ઘરની સ્ત્રીઓ જ આવું કામ કરતી હોય છે. સરેરાશ પુરુષો ભાગ્યે જ આવું કામ કરતા હશે. ઘરમાં દીકરી કે વહુ હોય તે ઝાડુ મારે પોતું મારે રાજકુમાર ભલે નવરાં બેઠાં હોય ટીવી જોતા હોય કે ગપાટા મારતા હોય એમનાથી આવું કામ થાય નહિ. એટલે આવી માનસિકતા લઈને પધારેલા રાજકુમારોને અહિ આવી સ્ટોરમાં કચરો સાફ કરવો પડે એટલે એવું થાય કે હું કૅશિયર અને કચરો પણ વાળું? હવે અહીંની સિસ્ટમ પ્રમાણે મને કમને કરવું પડે એટલે એવું કહે કે અહીં તો આવા નીચા કામ કરવાં પડે છે કોઈ લીલાલહેર નથી. અને એવી જ માનસિકતા ધરાવતા આપણા દેશમાં રહેતા ભાઈઓ પણ આવું જોઈ ખુશ થાય કે લેતા જાઓ કેવાં કામ કરવા પડે છે?
આ લેખના વિષય વસ્તુ બહારની વાત કરું કે ગુજરાતીઓ ભલે શરૂમાં ગમે તે કામ કરી લે પણ છેવટે માલિક બનીને જીવવા ટેવાયેલા છે. ન્યુ જર્સીના સરેરાશ ૮૦-૯૦ ટકા નાના નાના કન્વિનીયંશ સ્ટોરોનાં માલિક ગુજરાતીઓ છે, અને એટલાં જ લિકર સ્ટોરોનાં અને ગેસ(પેટ્રોલ) સ્ટેશનોનાં માલિક પણ ગુજરાતીઓ છે, અને મોટેલ એટલે પટેલ તો બહુ કૉમન છે. જ્યાં જ્યાં ગુજરાતીઓની બહુમતી હોય ત્યાં ત્યાં આવી જ સ્થિતિ હોય છે. હશે ક્યાંક કશું જ આવડે નહિ તો સાફસફાઈનું કામ કરતા હશે પણ સાફસફાઈના કામમાં એવરેજ દક્ષિણ અમેરિકન સ્પેનીશ પ્રજા વધુ જોડાયેલી હોય તેવું મેં જોયું છે. મૂળ વાત છે અહીં સાફસફાઈના કામને હલકું કોઈ ગણતું નથી.
ગંગા સફાઈ માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરશે. હવે ગંગાની સફાઈ કરવાને બદલે ખાલી એમાં ગંદકી ઠાલવવાનું કે એને ગંદી કરવાનું ખાલી સરકાર રોકી શકે તો આ વહેતી ગંગા તો ઓટોમેટીક ચોખ્ખી થઈ જશે. કારણ ગંગા ગંદી રહેવા થોડી ટેવાયેલી હોય? ગંગા તો પવિત્ર રહેવા સર્જાયેલી છે અને એટલે તો સદાય વહેતી રહે છે જેથી એની અંદર કોઈ ગંદકી ટકે નહિ વહી જાય. પણ આપણે ગંગામાં ગંદકી ઠાલવે જ રાખીએ છીએ અને બીજી બાજુ એને સ્વચ્છ કરવા પ્રોજેક્ટ બનાવતા રહીએ છીએ. ગંદકી હોય ત્યાં પવિત્રતા કઈ રીતે હોઈ શકે? સંસ્કૃતિની નદી પણ સદાય વહેતી રહે તો સંસ્કૃતિ સુગંધ મારે બાકી બંધિયાર પાણીના ખાબોચિયાંની જેમ સંસ્કૃતિ પણ ગંધાઈ ઊઠતી હોય છે. ગંગાને ગંદી બનાવતા શરમ આવતી નથી આપણને, પણ કોઈ ગંગાને ગંદી કહે તો આપણને બહુ ખોટું લાગી જાય છે.
આપણને એવું લાગતું હશે કે પશ્ચિમના દેશો સ્વચ્છતા જાળવવા ભયંકર મહેનત કરતા હશે. કારણ આપણે સ્વચ્છતા જાળવવા ભયંકર મહેનત કરવી પડે છે છતાં સ્વચ્છતા જળવાતી નથી. પશ્ચિમના દેશોને સ્વચ્છતા જાળવવા કોઈ ખાસ મહેનત કરવી પડતી નથી કારણ સ્વચ્છતા જાળવવી અહીં લોકોએ સ્વભાવ બનાવી દીધો છે. દરેક દુકાનમાં, ઑફિસમાં, મોલમાં મોટા મોટા ગાર્બેજ કેન મૂકેલા હોય છે. દરેકના ઘેર એક રિસાયકલ વસ્તુઓનું અને બીજું કૉમન એમ બે મોટા ગાર્બેજ કેન મૂકેલા જ હોય છે. જાહેર સ્થળોએ મોટા મોટા ડમ્પર મૂકેલા હોય છે. આ બધું એકવાર મૂકવું પડે. દરેક દુકાન અને ઓફીસના કર્મચારી પ્લાસ્ટિકની બેગોમાં એકઠું થયેલું ગાર્બેજ પેલાં મોટા ડમ્પરમાં સાંજે ઠાલવીને જ જાય. જે નિયમિતપણે ગાર્બેજ કંપની કે વેસ્ટ કંપની ઉઠાવી જાય. ઘર આગળ અઠવાડીએ બે વાર કૉમન કચરો ઉઠાવી લેવા મોટી ટ્રક આવે અને રિસાયકલ લેવા પંદર દિવસે આવે. આ નક્કી દિવસની આગલી રાતે બધા પોતપોતાના ગાર્બેજ કેન ઘર આગળ રસ્તા નજીક લાવીને મૂકી દે, વેસ્ટ કંપનીની ટ્રકો વહેલી સવારે જાગીએ તે પહેલા તો આવીને કચરો ઠાલવી ને લઈ જાય. આપણી સ્વચ્છતા આપણે જ જાળવવાની એટલે સરકારને બહુ કામ રહે નહિ, એણે ફક્ત વ્યવસ્થિત નાખેલો કચરો ઉઠાવવાનું કામ કરવું પડે. આ કોઈ અઘરું કામ નથી. જ્યાં ને ત્યાં કચરો નહિ નાખવો એટલી ટેવ પાડીએ તો પણ બહુ મોટું કામ થઈ જાય. બાકી સરકારી તંત્ર કરી કરી ને કેટલું કરે?
મેં તો વડોદરામાં રહેતા જાતે જોયું છે કે મહાનગરપાલિકાની સફાઈ કામદાર એવી સવિતા અને એની વહુ પોળમાં આવતા, બે હાથમાં બે ઝાડુ લઈ આખી પોળ વાળે. એની કચરા ગાડીમાં અમે આખા દિવસનો ઘરમાં ભેગો કરેલો કચરો નાખી આવતા. બિચારી કમરના મણકા વહેલા નાશ પામી જાય તે રીતે વાંકી વળીને કચરો વાળી આગળ જાય એટલામાં કોઈ ઘરમાંથી આવીને કોઈ બહેન રાતની વધેલી વાસી ખીચડી રોડ ઉપર જ ઠાલવી જાય, તો વળી કોઈના ઘરના ત્રીજા માળેથી પ્લાસ્ટિક બેગમાં ભરેલો એઠવાડો ધબાક કરતો રોડ પર ફેંકવામાં આવે, જે કોથળી ફાટી જતા આખા વાળેલા રોડ પર ફેલાઈ જાય. સવિતા ગુસ્સે થાય, ‘ અલી બોન જરા તો શરમ રાખ? હાલ વાળ્યું છે અને તે એઠવાડો નાખ્યો?’ પણ આ તો રોજનું રહ્યું એટલે સવિતા બબડતી બબડતી આગળ વધી જાય. હું મારી બારીમાં બેઠો બેઠો છાપું વાંચતો વાંચતો વર્ષો સુધી આ બધું જોતો હતો. પોળ ચોક્ખી રાખવા કરવાનું શું હતું? ફક્ત સવિતા એની કચરા ગાડી લઈને આવે ત્યારે આખા દિવસનો ભેગો કરેલો કચરો એમાં નાખી દેવાનો હતો. જે અમે બેચાર ઘરવાળા જ કરતા હતા. બાકી પોળ તો રોજ સવારે તે ચોખ્ખી ચણાક કરી જતી જ હતી. પણ ઘરમાં એકઠો કરવાને બદલે અને સવિતા આવે ત્યારે એની કચરાગાડીમાં નાખવાને બદલે તે જાય પછી આખો દિવસ પોળમાં રસ્તા પર ઠાલવી દેવામાં આવે તો પોળ ક્યાંથી સાફ રહે?
ઘર, પોળ, ગામ, શહેર કે દેશ સ્વચ્છ રાખવા કોઈ બહુ મહેનતની જરૂર જ નથી. જરૂર છે ફક્ત થોડી ટેવો બદલવાની અને સ્વચ્છતાને સ્વભાવ બનાવવાની. સફાઈ કરવી કોઈ હલકું કામ છે તેવી માનસિકતા બદલવાની. સફાઈ કરવી નીચ કામ છે તેવી માનસિકતા જ્યાં સુધી નહિ બદલીએ ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત કોઈ અભિયાન દેશને સ્વચ્છ નહિ કરી શકે અને જો આવી માનસિકતા બદલી નાખીશું તો દુનિયાની કોઈ તાકાત દેશને સ્વચ્છ બનતો નહિ રોકી શકે.
સન ૧૦૨૪માં સોમનાથ મંદિર ઉપર જબરદસ્ત ટૅરર ઍટેક થયેલો. ટૅરરિસ્ટ બહુ મોટું લશ્કર લઈને આવી રહ્યો છે તેવી જાણ ઈન્ટેલીજન્સ એજન્સી દ્વારા થઈ ગઈ હોવાથી તે સમયના રાજકર્તા હતાશ થઈ કોઈ પગલા લેવા અસમર્થ હતા તો ક્યાંક ચુપ થઈને બેસી ગયેલા. આજે ૨૦૧૪માં પણ કોઈ ફરક પડ્યો નથી. ૯૯૦ વર્ષ વીતી ચૂક્યા છે સોમનાથ પર ટૅરર ઍટેક થયે પણ હજુ એની એજ પરિસ્થિતિ છે. આજે પણ રાજકર્તાઓ એટલાં જ મજબૂર છે કે પછી ટૅરર ઍટેકમાં જે જીવ જાય છે તેનું કોઈ મહત્વ નાં હોય, ભાજીપાલો સમજતા હોય.
હવે બહુ મોટું જબરદસ્ત લશ્કર લઈને થરનાં રણમાં પસાર થઈને દુનિયાનો એક સમયનો ગ્રેટ ટૅરરિસ્ટ આવી રહ્યો છે તે જાણી એન્ટીટેરરિસ્ટ સ્ક્વોડનાં કાઠિયાવાડના વડા હમીરજી ગોહિલે એમના ચુનંદા અફસરો ભેગા કરવા માંડ્યા. એ વખતે આજની જેમ ૬ કરોડ ગુજરાતીઓ તો નહિ હોય પણ ૫૦-૬૦ લાખ તો હશે તેવું ધારી લઈએ. ધારવામાં આપણા બાપનું શું જાય છે? ખેર પ્રજાએ તો સદીઓથી નિષ્ક્રિય રહેવાનું ઠાણી લીધેલું જ હતું. લાઇફ સ્ટાઇલ જ એવી અપનાવેલી હતી એટલે શું થાય? જેના ભાગમાં મરવાનું હોય એ મરે આપણે શું? ખેર, એન્ટીટેરરિસ્ટ સ્ક્વોડનાં વડા હમીરજી ગોહિલને ખબર હતી કે આ આત્મહત્યા જ છે પણ એ બહાદુર, પ્રજા આશરે ૯૮૦-૯૯૦ વર્ષ લગી એમના માટે શ્રદ્ધાંજલિનો ‘શ’ પણ બોલવાની નહોતી છતાં એમના ચુનંદા અફસરોને લઈને રીતસર આત્મહત્યા કરવા મુંબઈના એન્ટીટેરરિસ્ટ સ્ક્વોડના પોલીસ ચીફ હેમંત કરકરેની જેમ ધસી ગયા. હમીરજી એમના ચુનંદા ૩૦૦-૪૦૦ અફસરો સાથે વીરગતિ પામ્યા જેવી રીતે અદ્દલ ૯૮૪ વર્ષ પછી હેમંત કરકરે એમના સાથીઓ, વિજય સાલસ્કર, અશોક કામટે, તુકારામ ઓમ્બ્લે જેવા બીજા અનેક સહિત વીરગતિ પામવાના જ હતા.
૧૯૫૧માં આઝાદી પછી સરદાર વલ્લભભાઈએ સોમનાથ મંદિર બનાવ્યું, તે પહેલા તે અનેક વાર જુદાજુદા મુસ્લિમ શાસકો દ્વારા તૂટી ચૂક્યું હતું અને વારંવાર બંધાઈ ચૂક્યું હતું. ૨૦૦૪માં હું સોમનાથ ફરવા ગયેલો ત્યાર સુધી હમીરજીનું કોઈ સ્ટેચ્યુ ત્યાં હતું નહિ. હવે થોડા વર્ષોથી એમનું અપ્રતિમ બલિદાન યાદ કરીને એમની સુંદર પ્રતિમા મૂકવામાં આવી છે. ભારતમાં ટૅરરિઝમ બહુ પ્રાચીન ઇતિહાસ ધરાવે છે. એટલે ટૅરર ઍટેક ગમે તેટલા થાય પ્રજા અને શાસનકર્તાઓ એટલાં બધા ટેવાઈ ગયા છે કે એમના માટે મરનારા મરે આપણે બહુ જીવ બાળવાની જરૂર નહિ. જેમ અકસ્માતમાં કોઈ મરે તો જેના અંગત હોય એને લાગે બીજાને શું? એવું જ ટૅરર એટેકમાં મરે તો એના અંગત સગા હોય તે આંસુ વહાવી લે બીજા ને શું? બહુ બહુ તો શ્રદ્ધાંજલિ આપી દેવાની, તે પણ ઘણા તો હસતા હસતા આપતા હોય છે.
“શ્રદ્ધાંજલિઓ આપવાનું આદત બની ચૂક્યું છે.”
શ્રદ્ધાંજલિ આપી દીધી આપણી ફરજ પૂરી થઈ ગઈ, રાષ્ટ્રપ્રેમી છીએ તેવું બતાવવાનો એક વધુ મોકો મળી ગયો, વાર્તા પૂરી. રાષ્ટ્ર માટે શહીદ થવું શહીદ માટે ગૌરવની વાત છે પણ જે તે રાષ્ટ્ર માટે એના કોઈ નાગરિકને વારંવાર શહીદ થવું પડે તે સમગ્ર રાષ્ટ્ર માટે શરમની વાત છે. આ વાત જે રાષ્ટ્રના શાસકો અને નાગરિકો સમજે છે ત્યાં ફરી ટૅરર ઍટેક થવા કે કરવા મુશ્કેલ છે. ખાલી મુંબઈનો ઇતિહાસ જોઈએ.
આ તો ખાલી મુંબઈના આંકડા છે. દેશમાં બીજે થયેલા તેના આંકડા તો અલગ છે. આઝાદી પહેલાના જુના ઐતિહાસિક ટૅરર એટેકની વાત જવા દો. આઝાદી પછી પણ અસંખ્ય ઍટેક વારંવાર થયા છે. ટૅરર ઍટેક દેશની અંદરના દુશ્મનો સાથે મળીને બહારના દુશ્મનો કરતા હોય છે. ૨૬/૧૧ ઍટેક વધુ એટલાં માટે ગાજે છે કે કદાચ પહેલીવાર પાકિસ્તાનમાંથી બોટ દ્વારા મુંબઈના દરિયા કિનારે ઊતરીને ઍટેક કરવામાં આવ્યો. આટઆટલાં ઍટેક થયા પછી પણ જો બહારથી આવી ને હરામખોરો ઍટેક કરી જાય તો સરકારી તંત્રની તદ્દન નિષ્ફળતા કહેવાય અને જે શહીદ થયા છે તેમને આપણે તો શહીદ કહીને બિરદાવશું પણ આપણી સરકાર દ્વારા તેમના મર્ડર થયા છે તેવું કહેવું વધુ યોગ્ય લાગશે.
કહેવાય છે કે કોઈ મોટું કાવતરું રચાઈ રહ્યું છે અને તે પણ ભારતની આર્થિક રાજધાની મુંબઈ પર ઍટેક થશે તેવી માહિતી CIA દ્વારા ભારતની ઈન્ટેલીજન્સ એજન્સી ‘રો’ ને આપવામાં આવે છે. હવે આ માહિતી ‘રો’ મુંબઈ પોલીસને આપે છે, જવાબદારી પૂરી. મહારાષ્ટ્ર સરકાર દ્વારા રચાયેલ ‘પ્રધાન ઇન્ક્વાયરી કમિશન’ એના રીપોર્ટમાં કહે છે કે war-like ઍટેક ખાળવો કોઈ પોલીસ ફોર્સની કેપેસીટી બહારની વાત છે. અને મુંબઈ પોલીસ કમિશનર હસન ગફુર આવી કપરી પરિસ્થિતિમાં નેતૃત્વ પૂરું પાળવામાં અસફળ રહેલા. હવે યુદ્ધ જેવા ઍટેક સમયે મુંબઈ પોલીસ ઉપર કેટલો આધાર રાખી શકાય? શું ભારત સરકારને સમજ નહોતી કે ‘રો’ ને મળેલી માહિતીનું સાચું મૂલ્યાંકન કરે? મુંબઈ પોલીસને માહિતી ટ્રાન્સ્ફર કરીને ફરજ પૂરી? વિચારેલું કે મુંબઈ પોલીસ ઍટેક ખાળી શકશે કે નહિ? આ કોઈ પહેલો ઍટેક તો હતો નહિ. ૧૯૯૩ થી માંડીને ૨૦૧૧ સુધીમાં નવ વખત બૉમ્બ ધડાકા એકલાં મુંબઈમાં થઈ ચૂક્યા છે. દેશના બાકીના ભાગોની વાત જુદી જ છે. એમાં નક્સલવાદીઓ, માઓવાદીઓ, ઉલ્ફા ને બોડો જેવા અનેક આંતરિક સંગઠનો ત્રાસ ફેલાવે આવા ધડાકાઓ કરીને તે વાત વળી પાછી જુદી છે. દર વખતે સામાન્ય જનતા મરતી હોય છે અને પોલીસ-આર્મીના માણસો શહીદ થતા હોય છે. આજ સુધીમાં એટલાં બધા જવાન શહીદ થયા હશે કે શહીદ શબ્દનું કોઈ વજૂદ જ રહ્યું નથી. શહીદ બનવાનું જોબ બની ગયું છે. શું નવાઈ કરી? આ તો તમારી જોબ છે.
૧૯૯૩માં જુદી જુદી જગ્યાએ બૉમ્બ ધકાડા થયેલા તેમાં ૨૫૭ લોકો માર્યા ગયેલા. હવે જે માર્યા જાય છે તે હંમેશા નિર્દોષ જ હોય છે. તે વખતે આખા કાવતરાની તપાસ રાકેશ મારિઆ સાહેબે કરી હતી. નવાઈની વાત એ હતી કે કેટલાક કસ્ટમ ઓફિસર જાણતા હતા કે આ વખતે જે લેન્ડીગ થવાનું છે તે કોઈ સામાન્ય નથી એમાં હથિયાર હશે અને બીજું કોઈ સ્ફોટક ભયાનક પણ હશે. છતાં ફક્ત પૈસા ખાતર લાંચ લઈને બધું થવા દીધેલું, એમાં પોલીસના માણસો પણ સંડોવાયેલા જ હતા. ૨૬/૧૧ ઍટેક વખતે પણ તપાસનીસ અધિકારી રાકેશ મારિઆ જ હતા. દેશના અંદરના લોકોની મદદ વગર આટલું મોટું કાવતરું સફળ થાય જ નહિ. એક કસાબને ફાંસીએ ચડાવતા પણ કેટલા વર્ષો કાઢી નાંખ્યાં? હદ તો એ થાય છે કે ક્ષણમાં સેકડો નિર્દોષ લોકોને વીંધી નાખનાર કસાબને ફાંસી નાં આપશો તેવી મતલબની અરજી પણ ભારતમાં જ અને કેટલાક મહાન ભારતીયોની સહી સાથે થાય છે. આ સહીઓ કરનારનો એક સગો ફક્ત એક સગો કસાબની ગોળીએ વીંધાયો હોય તો?
ગઝની આવે ઘોરી આવે ખીલજી હોય કે મુઘલ દેશના ક્ષત્રિયોએ હંમેશા બલિદાન આપ્યા છે, હવે આર્મી અને પોલીસના જવાનો આપે છે. બલિદાન કે શહીદ શબ્દ સાંભળીને પ્રજાના દિલમાં કોઈ સંવેદના જાગે છે ખરી? કે પછી હોંશે હોંશે શ્રદ્ધાંજલિ સમારંભો માણવાની તાલાવેલી જાગે છે? ૯/૧૧ પછી અમેરિકા ઉપર આવો ઍટેક હજુ સુધી શક્ય બન્યો નથી. એવું નથી કે પ્રયત્ન નથી થયા, પણ કાવતરા પકડાઈ જાય છે. આપણો પ્રાચીન અને લાંબો શહાદતોનો ઇતિહાસ જોઈ વિચાર આવે છે ખરો કે કેમ આવું?
“સૈનિકને દુશ્મન સામે લડવામાં લેશમાત્ર ડર નથી, તે જ સૈનિક હું શહીદ થઈશ તો મારા પરિવારને સરકાર ટલ્લે ચડાવશે તે વિચાર માત્રથી ધ્રૂજી જાય છે !” આ શબ્દો છે કમાન્ડોની સફળ ટ્રેનિંગ લઈ ચૂકેલા ઇન્ડિયન આર્મીના એક જુવાનના.
નંદ સામ્રાજયનાં ધનનંદ વખતથી ગ્રીક વિદેશીઓએ ભારતના દ્વાર ખખડાવવાનું શરુ કરી જ દીધું હતું. ઈસુના ત્રણસો વર્ષ પહેલા ખોબલા જેવડા ગ્રીસનો એલેકઝાન્ડર સિકંદર ભારતના કમાડની સાંકળ ખખડાવી જ ગયો હતો પણ આપણે ચેત્યા નહિ. નંદ સામ્રાજયનો નાશ કરનાર મહાન મૌર્ય ચંદ્રગુપ્ત આપણી પાસે અડીખમ હતો. એના પછી આવેલા શૃંગ સામ્રાજ્ય અને પછી આવેલા મહાન ગુપ્ત સમ્રાટોએ ઈ.સ. ૫૫૦ સુધી સીમાડા સજ્જડ રીતે સાચવ્યા હતા. મૌર્ય સમ્રાટોને મુસ્લિમ વિસ્તારવાદનો સામનો કરવો પડ્યો નહોતો, ગ્રીક લોકો સાથે એમને સારા અને કૌટુંબિક સંબંધો હતા. મૌર્યો પછી આવેલા પુષ્યમિત્રશૃંગ બૌદ્ધોનો કાળ બન્યો. શૃંગોનો શાસનકાલ બૌદ્ધધર્મને ભારતમાંથી ખદેડવામાં લગભગ સફળ થઈ ચૂક્યો હતો. ત્યાર પછી આવેલા ગુપ્ત સામ્રાજ્ય સમયે ભારતનો સુવર્ણકાલ હતો. કળા અને સાહિત્યનો સુવર્ણકાલ હતો. ગુપ્ત વંશના મહાન પરાક્રમી શ્રીગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલો, સમુદ્રગુપ્ત, વિક્રમાદિત્ય(ચંદ્રગુપ્ત બીજો), કુમારગુપ્ત, સ્કંદગુપ્ત એક આખી મહાન ગુપ્ત રાજાઓની શ્રુંખલા સમયે ભારત સોને કિ ચીડિયાં હતું. એક મૌર્ય અને બે ગુપ્ત એમ ત્રણ ત્રણ મહાન ચંદ્રગુપ્ત આપણી પાસે હતા. મુસ્લિમ વિસ્તારવાદનાં પડઘા દૂર દૂર થી સંભળાઈ રહ્યા હતા. ગુપ્તોના પતન પછી એ સુવર્ણકાલ ફરી કદી આવવાનો નહોતો. આપણી માન્યતાઓની દીવાલો આપણી પ્રગતિ રોકીને બેસી ગઈ હતી. આપણી માન્યતાઓ આપણને જ ધોબી પછાડ આપવાની હતી. આપણે રચેલા મહાન સંસ્કૃતિના સમુદ્રમાં આપણી નૈયા બેફામ હંકારતા હતા તે સમુદ્ર જ આપણી નૈયાને ડુબાડવા તૈયાર થવાનો હતો તેની આપણને સમજ નહોતી.
મુસ્લિમોનાં અરબી ઘોડા ભારતના દ્વાર ખખડાવે તેટલી જ વાર હતી. પૃથ્વીરાજ ચૌહાણ તો એક નિમિત્ત માત્ર હતો, એના બદલે બીજો કોઈ હોત તે પણ હારવાનો જ હતો. પૃથ્વીરાજ કદાચ હાર્યો નાં હોત તો એની પાછળ આવનાર એનો વારસદાર હારત. ભારતીય સંસ્કૃતિની ભવ્ય ઈમારત અંદર થી ઉધઈ વડે ખવાઈને ખોખલી થઈ ચુકેલી જ હતી. ઉપરથી અકબંધ દેખાતી ઈમારત ને ફક્ત એક જ ધક્કા એક જ ટકોરાની ની જરૂર હતી કકડભૂસ થઇ તૂટી પડવાને. સમયનો તકાજો હતો. આવનાર સમય એક મહાન મિથ્યાભિમાની સંસ્કૃતિને ૮૦૦ વર્ષ લાંબી ગુલામીમાં સડતા જોઈ રહેવાનો હતો તેની પૃષ્ઠભૂમિકા રચાઈ ચૂકી હતી. એક નાનકડું તાઈવાન અને ઇઝરાયલ આધુનિક જગતમાં મહત્વનું સ્થાન બની શકે અને આપણે કેમ નહિ ? શા માટે આપણે બાકીની દુનિયાની સરખામણીએ ગરીબ અને પછાત રહ્યા ? શા માટે આપણે કમજોર હતા ને એના લીધે ગુલામ રહ્યાં ? શા માટે આટલી જૂની સભ્યતા હતી છતાં ગણિત વિજ્ઞાનની શરૂઆત કરીને શરૂમાં જ અટકી ગયા?
આવા વિસ્તીર્ણ બૃહદ પ્રશ્નોના સીધા સાદા, સરળ અને ટૂંકા ઉત્તર શક્ય નથી. આના કારણો બહુઆયામી આનુષંગિક, ગૂંચવાડાભર્યા અને ગંભીર છે. વધુ જોખમકારક તો એ છે કે આપણા બુદ્ધિશાળી, મિથ્યાભિમાની, વિચાર્યા વગર માની લેવાની ટેવ વાળા, વિનમ્ર, આત્મ સંતુષ્ટ, સમાધાની ભારતીયો પણ આવા પ્રશ્નો પૂછવાનું અને ઉત્તર મેળવાનું ટાળે છે. તેઓ બધું જ જાણે છે, પરમજ્ઞાની છે. મજબૂત અણવિશ્વાસ સાથે કહેવાના કે તમારે વળી નવું શું કહેવાનું છે ? અમુક કહેવાતા બુદ્ધિશાળીઓ ફક્ત એમના પૂર્વગ્રહો જ બરાડ્યા કરતા હોય છે. ચોક્કસપણે ભારત પાસે બ્રેન છે, ઉત્તમ કરકસરિયા વૈજ્ઞાનિકો છે, મેનેજમેન્ટ ગુરુઓ છે જે દુનિયાની બડી બડી કંપનીઓ સંભાળે છે, ખૂબ બુદ્ધિશાળી પ્રતિભાઓ પેદા થયેલી જ છે, પણ સત્યની લગોલગ પહોચીને ચૂકી જવાતું હોય છે.
આપણે ખૂબ બેદરકાર, અનિયમિત છીએ સત્યને પામવાની ઉતાવળી ઉત્કંઠા ધરાવીએ છીએ. આવા બૃહદ પ્રશ્નોનું સમાધાન ટૂંકમાં ઇચ્છવું જોખમી છે. છતાં આ ખૂબ ઉતાવળિયા ને વ્યસ્ત જગતમાં કંઈક તો કરવું જ પડશે ને ? હું તમને કહેવા માંગુ છું કે આપણા સત્યાનાશ માટે કોઈ પરદેશી કે કોઈ પ્રારબ્ધની અધિષ્ઠાત્રી દેવી જવાબદાર નથી, ના તો કોઈ પાપનું ફળ છે. ક્યા સુધી અંગ્રેજોનો વાંક કાઢીશું ? ક્યા સુધી મુસલમાનોનો વાંક કાઢીશું ? આ લોકો આપણને પાટલે બેસાડી આપણી પૂજા કરવા તો આવ્યા નહોતા ? એ તો લુંટવા જ આવ્યા હતા તે લુંટી ગયા. આપણે લુંટાયા શું કામ ? આપણે પણ કાંઈ જાણી જોઇને લુટાયા તો છીએ નહિ. લુટાઈ જવાનું કોને ગમે ? પણ આપણી પોતાની કેટલીક નબળાઈઓ હતી કે પ્રતિકાર કરી શક્યા નહિ. પણ આપણે શું કર્યું કે આપણી નબળાઈઓને નૈતિકતાની એક મહાન ચાદર ઓઢાડી દીધી કે અમે તો અહિંસક અમે તો દયાળુ, અમે તો માનવીય સંવેદનાઓ વડે ભરાયેલા, અમે અતીથીદેવો ભવઃ માં માનવાવાળા. આપણી નિષ્ફળતા માટે આપણે પોતે જ જવાબદાર છીયે, આપણે ઉભા કરેલા મૂલ્યો જ જવાબદાર છે. આપણા સાંસ્કૃતિક મુલ્યોએ જ આપણને મારી નાંખ્યાં છે. સંસ્કૃતિ આપણા ધર્મનો એક ભાગ કે ધર્મ સાથે જોડાયેલી હોય છે, સંસ્કૃતિ આપણી પરમ્પરાગત માન્યતાઓ, મૂલ્યો અને વલણ વડે ઘેરાયેલી હોય છે. વળી પાછી આપણી માન્યતાઓ, મૂલ્યો ને વલણ પાછું ધર્મની અસર તળે હોય છે. ટૂંકમાં કહેવું હોય તો પ્રારબ્ધવાદ, સંતુષ્ટવાદ, તર્કઅસંગતતા, વિવેકબુદ્ધિનો અભાવ, અધ્યાત્મ સાથે સ્થિર પૂર્વગ્રહ, ગુરુ એટલે ભગવાન, ઈચ્છવાયોગ્યનો પરિત્યાગ, ગરીબીને અકારણ મહત્વ, આવું અનેક આડકતરી રીતે આપણને પતનને માર્ગે દોરી લઈ ગયું છે. તમે ધર્મની આલોચના કરી શકો એનાથી મુક્ત થઈ શકો નહિ. ધર્મ મોટાભાગના લોકો માટે પ્રભાવક અને અનિવાર્ય હોય છે. તો શું કરશું ?
હવે ધર્મ અને સંસ્કૃતિનું વાસ્તવિક મનોવિશ્લેષણ કરવું પડશે. એમનો એક જમાનો હતો, એમના દિવસો હતા, હવે ધર્મ અંતરાય બને છે. ધર્મ આધારિત મૂલ્યો વાળી સમાજવ્યવસ્થામાં આપણે ક્રાંતિકારી ફેરફાર કરવા પડશે. પ્રલોભન વડે વિજ્ઞાપિત મૂલ્યોની ઉપેક્ષા કરવી પડશે. નવા મૂલ્યો ઉભા કરવા પડશે. ધર્મ વગર ચાલતું નાં હોય તો જુના ધર્મમાં ક્રાંતિકારી અર્થઘટન કરી નવા માળખા ઉભા કરવા પડશે. આપણે એક સ્પષ્ટતા તરફ આગળ વધવું પડશે, ચોખટા(આઉટ ઑફ બૉક્સ) બહાર વિચારવાનું શીખવું પડશે, સુધારાવાદી બનવું પડશે અને આવું બધું કરવા માટે આપણે રૂઢિવાદીઓ પ્રસિદ્ધ નથી. તમને ખબર નહિ હોય સોક્રેટિસ, પ્લેટો સુધી પશ્ચિમ પણ આપણા જેવું જ હતું. એમની ફિલોસોફી પણ જીવન વિરોધી, સુખ વિરોધી લાઈફ આફ્ટર ડેથ ને વધુ મહત્વ આપનારી હતી. પછી એરીસ્ટૉટલ(૩૮૪-૩૨૨ BCE) આવ્યો. એણે આ જીવનમાં પણ હેપિનેસ મેળવી શકાય તેનો સંદેશો આપ્યો. સુખ, ધન વગેરેનું મહત્વ સમજાવ્યું. જીવન વિરોધને બદલે આનંદિત જીવનનો સંદેશો આપ્યો. પણ આપણે જેમ ચાર્વાક ને ભુલાવી દીધો તેમ આપણી જેમ રૂઢીવાદી પશ્ચિમના લોકોએ એને ભુલાવી દીધો. ૧૨મી સદી સુધી યુરોપ એક અંધકાર યુગમાં જીવતું હતું. લગભગ ૧૬૦૦ વર્ષ એરીસ્ટૉટલ ભુલાઈ ગયેલો પણ એક ઇટાલિયન પાદરી Thomas of Aquin or Aquino (1225 – 7 March 1274) પાક્યો એણે પાછો એરીસ્ટૉટલને જીવતો કર્યો, સાંપ્રત ધર્મોમાં નવા અર્થઘટન કર્યા અને તે યુરોપમાં Renaissance નવયુગના મંડાણનું કારણ બન્યા. અચાનક અંધકાર યુગમાં જીવતું સાવ પછાત જંગલી જેવું યુરોપ વિકાસના માર્ગે સડસડાટ આગળ ધપવા લાગ્યું. ઔદ્યોગિક ક્રાંતિ તરફ દોડવા લાગ્યું. આપણે પણ બહુ સારી ગાંધી જેવી સુધારાવાદી અનેક પ્રતિભાઓ પેદા કરી જ છે પણ અધ્યાત્મના આફરાને વરેલી આવી મહાન પ્રતિભાઓ જીવન વિરોધી સુખ વિરોધી આનંદ વિરોધી જ રહી છે. આપણે હજુ એક Thomas of Aquino પકવી શક્યા નથી.
આજે આપણે આધુનિક દુનિયામાંથી આવતા પ્રગતીસુચક સંદેશાઓ વારંવાર જેને અથડાતા હોય તેવી અસમતલ ભૂમિ ઉપર ઊભેલા સંક્રાતિકાલમાંથી પસાર થઈ રહ્યાં છીએ. પ્રાચીન રૂઢિઓનાં સખત ખડક ઉપર અથડાતું પશ્ચિમી સંસ્કૃતિનું ભારણ એક મૂળ વગરના ચુનંદા વર્ગનું નિર્માણ કરે છે. આ વર્ગ છે બુદ્ધિશાળી પણ મૂળ વગરના મહાત્મા જેવો છે. આ વર્ગને કઈ દિશામાં જવું તેની સમજ પડતી નથી. એમની પાસે હોકાયંત્ર છે ખરું પણ એની સોય સતત પૂર્વ અને પશ્ચિમ એમ દિશા બદલે જ જાય છે. આવું જ નવી જનરેશન માટે છે. દિશાવિહીન છે નવી પેઢી, ધોતિયું પહેરી શકતી નથી ને પૅન્ટનાં ગુણ ગાઈ શકતી નથી. સવારે ઊઠીને હાથમાં દાતણને બદલે ટૂથબ્રશ પકડે તે રાત્રે સૂઈ જાય ત્યારે માથે પંખા ફરતા હોય ત્યાં સુધી આખો દિવસ પશ્ચિમે શોધેલી વસ્તુઓ વાપરતા વાપરતા સતત પશ્ચિમની સંસ્કૃતિને ભાંડતો નગુણો આપણે સમાજ છીએ. ભૌતિકવાદને સતત ભાંડતા ધર્મ ધુરંધર પરમ પૂજ્યો પહેરે છે મલમલની પરમસુખ ધોતી પણ ફરે છે મર્સિડીઝમાં.
જરૂર છે આખીય વસ્તીના મૂળભૂત વલણ અને માન્યતાઓમાં ધરખમ ફેરફારની. ધરમૂળથી બદલાવની પ્રક્રિયા શરુ થાય તેની તાતી જરૂર છે. આખી સંસ્કૃતિને ક્રાંતિકારી ફેરફારની જરૂર છે. આ સહેલું નથી, ઊલટાનું દુઃખદાયી છે. દઝાડે તેવું છે પણ આવો એક પ્રયત્ન અબજો લોકોના જીવનમાં એક આશાનો પ્રકાશ પાથરવા જરૂર સક્ષમ થશે
કડું, કરિયાતું, કાળી જીરી, લીમડાની અંતરછાલ બધું ભેગું કરીને બનાવેલી આ આયુર્વેદીક દવા જીર્ણજ્વર ઉતારવા ઉકાળીને પવાય છે. બહુ કડવું હોય છે ઝેર જેવું. ઝંડુ ફાર્મસીના મહાસુદર્શન ચૂર્ણમાં પણ આ બધી દવાઓ હોય છે. મહાસુદર્શન મારું પ્રિય ચૂર્ણ, સિઝન બદલાય અને તાવ જેવું લાગે અઠવાડિયું રોજ રાત્રે ફાકડો મારી જ લેવાનો. સ્વાસ્થ્ય માટે અમુક અમુક દિવસે આવી કડવી ફાકી મારવી જરૂરી છે. આયુર્વેદ પ્રમાણે જીર્ણજ્વર એક્ ક્રોનિક ફીવર જેવું કહેવાય. આવા તાવ જલદી ઉતરતા નથી. મેરા ભારત મહાન આવો જ એક જીર્ણજ્વર છે. લગભગ આપણ દરેક ભારતીયને હોય છે. મને પણ ખુબ ઉગ્ર રીતે વળગેલો હતો. જોકે આ તાવ હજારો વર્ષથી વળગેલો છે અને એટલે જ આપણે પલાંઠી મારીને બેસી ગયા છીએ કે આપણે તો મહાન હતા અને સર્વજ્ઞ હોવાનો દાવો તો પાછો ઉભો જ છે માટે હવે કશું કરવાનું છે નહિ. હું પણ આવો તાવ લઈને જ અમેરિકા પધારેલો હતો આપણા લેખકો અને પત્રકાર લેખકોએ અમેરિકાને જોયા વગર જ મારેલાં ગપ્પ સાચાં માની અમેરિકા એટલે સાવ રાક્ષસ હોય, સંસ્કાર અને સંસ્કૃતિવિહીન હોય તેવી છાપ લઈને ફક્ત ડોલરના ઝાડ ખંખેરવા મળશે તે આશામાં જ આવેલો. પણ અહી આવીને જુદું જ જોયું અનુભવ્યું વિચાર્યું કે મેરા ભારત મહાન ૧૦૦ ટકા હતું પણ હવે રહ્યું નથી. નથી રહ્યું તો કેમ પાછળ ગગડ્યું ? ફરી મહાનતા તરફ ગતિ કરવા એની દવા કરતા પહેલા બીમારી તો જાણવી પડશે કે નહિ ? બીમારી જાણ્યા વગર દવા શેની કરીશું ? એટલે મને મારી અલ્પમતિ જે દેખાય છે તે લખું છું. એમાં મારો કોઈ ઈરાદો નથી કે હું મારા દેશને વખોડું કે મારા દેશના બાંધવોની લાગણીઓ દુભવું. એક સમયે સૌથી જુની સંસ્કૃતિને નાતે અવ્વલ નંબરે આ દેશ હતો પણ હવે રહ્યો નથી. ફરી મારે અવ્વલ નંબરે એને જોવો છે. હવે નંબર વન હતો નંબર વન હતો એવા ગાણા ગાવાથી ફરી નંબર વન થઈ જવાતું નથી. ફરી નંબર વન બનવાની પહેલી શરત એ છે કે હાલ નંબર વન નથી તે પહેલા સ્વીકારવું પડશે. પછી હકારાત્મક બનો સારી બાજુઓ જુઓ એવા દંભી ગાણા ગાવાનું બંધ કરી બીમારીઓ જોવાનું શીખવું પડશે.
કે ભારત શા માટે ગરીબ પછાત, વિકસિત નહિ પણ ધીમી ગતિએ વિકાસ તરફ આગળ વધતો દેશ છે ? નેતાઓને ફક્ત વિકાસની વાતો કરે એટલામાં ઢગલાબંધ વોટ મળે છે. હજુ તો વિકાસની વાતો કરવી પડે છે. છે ને કરુણતા ? શા માટે ૧૯૪૭ પહેલા સળંગ આઠસો વર્ષ ગુલામી કે ગુલામી જેવી દશા ભોગવવી પડેલી ? કેમ પરદેશી આક્રમણકારીઓ મનફાવે ત્યારે આવીને જીતી જતા હતા અને ભારતીયોને ગુલામી તરફ ઢસડી જતા હતા ? આ બધા અઘરા પ્રશ્નોના ઉત્તર મેળવવાનું બહુ કઠિન છે. ઉપર છલ્લા જવાબો સહુ આપશે પણ એના ઊંડા મૂળ સુધી જવાનું અઘરું કામ કોઈ નહિ કરે અને કોઈ ઉત્તર શોધવાનું કામ કરતા કદાચ આકરું કહી બેસે તો હજારો લાખો દેશભક્ત આત્માઓ તૂટી પડશે. તમને ખબર નથી કેટલો મહાન આપણો દેશ હતો ? સૌથી જૂની સંસ્કૃતિ અને આજે તો નુક્લિઅર પાવર અને સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે આપણો તે શું ખબર નથી ? એમાંય રિક્ષા ભાડા કરતા ઓછા ખર્ચે મંગળ ઉપર પણ ચડાઈ કરી આવ્યા. બહુ સારી વાત છે.
અહીં કોઈને ક્રિટિસિઝમ ગમતું નથી, ગુણદોષવિવેચન કરીએ તો અહંકાર ઘવાય છે, લાગણીઓ વાતવાતમાં દુભાઈ જાય છે. જે પણ કહો તેનો તમારી સામે જ ઉપયોગ કરવામાં કાબેલ. આપણી ભૂલો કોઈ બતાવે તો એના જેવો કોઈ વેરી નહિ. ભારત સમજવા માટે સંપૂર્ણપણે મુશ્કેલ દેશ છે. હેમિંગ્વે કહે છે શું તમારે લેખક બનવું છે ? ક્યાં છે તમારા જખમ ? મેં કદી લેખક બનવાનું આયોજન કર્યું નહોતું પણ મારી પાસે મારા જખમ છે. મારી માતા, મારી ભારત માતા પાસે ઊંડા ઘાવ છે, ઘણા ગંભીર અને દૂઝતા ઘાવ. લોહી નીંગળતી ભારત માતા જોઈ એનો કયો પુત્ર કશું બોલ્યા વગર અમસ્તો જોઈ રહે ? જિંદગીની લાંબી મેરેથોન હરીફાઈમાં દુનિયાના અમુક સમાજ ઍડ્વાન્સ બની ગયા છે અને અમુક સાવ પછાત રહી ગયા. શું આની પાછળ કોઈ સ્પષ્ટ શકાય તેવી પૅટર્ન હશે ? આ મુદ્દો ઇતિહાસ, મનોવિજ્ઞાન, આસપાસનું વાતાવરણ, સમાજશાસ્ત્ર અને સંસ્કૃતિ વગેરેનું એક નાં સમજાય તેવું તદ્દન જટિલ જાળું છે. આવા લાક્ષણિક પ્રકરણનું પૃથક્કરણ કરવા તીવ્ર દ્ગષ્ટિ જોઈએ, ભારત એનો ઉત્તમ નમૂનો છે.
એક અબજ માણસોની મજબૂત સંખ્યા સાથેની આ પ્રાચીન મહાન સંસ્કૃતિ વિપુલ કુદરતી સાધન સંપત્તિ ધરાવતી હોવા છતાં બીજા માનવવંશ કરતા પ્રગતિની દોડમાં શા માટે પાછળ પડી ? આના ઉત્તર સહેલાઈથી નહિ મળે, છતાં પૂછવા પડશે, એની ચર્ચા કરવી પડશે, એને શોધવા ઊંડાણમાં જવું પડશે, મૂળિયા તપાસવા પડશે. છેલ્લો હિંદુ રાજા પૃથ્વીરાજ ચૌહાણ ઈ.સ. ૧૧૯૮મા હાર્યો ત્યારથી માંડીને ઈ.સ. ૧૯૪૭ સુધી પહેલા મધ્ય એશિયા અને પછી યુરોપથી આવેલા પરદેશી આક્રમણકારીઓ રાજ કરી ગયા. દુનિયાના કોઈ દેશનો આટલો લાંબો ૮૦૦ વર્ષનો પરદેશી શાસકોના તાબામાં રહેવાનો ઇતિહાસ નહિ હોય. આક્રમણકારીઓની એક લાંબી શ્રુંખલા જુઓ, ગઝની, તૈમુર, ખિલજી, બાબર, નાદિર દિલ્હીને કાયમ આગ લગાડી દેતા, મંદિરો તોડતા અને લૂટતા. હિંદુ પંડિતો ગઝનીનાં બજારમાં લીલામ થતા. શા માટે આપણે એટલાં બધા કમજોર હતા અને હજુ પણ છીએ ? કુદરતી સંપદાનો અભાવ ધરાવતા યુરોપના ટચૂકડા દેશો અને ટચૂકડું જાપાન પણ આર્થિક રીતે આપણાથી ઘણું આગળ નીકળી ગયું અને વિપુલ કુદરતી સંપત્તિ હોવા છતાં આપણે ગરીબ દેશોની હરોળમાં અવ્વલ નંબરે ખડા છીએ. શા માટે આપણે આટલાં ગરીબ અને પછાત રહ્યા અને હજુ પણ છીએ ? મારો જીવ કકળે છે.
સવારે ઊઠીને છાપું ખોલો વાંચીને જો જરા વિચારશીલ અને માનવીય સંવેદનાઓથી ભરેલા હો તો જીવ બળી ને ખાક થઈ જાય એટલાં બધા કૌભાંડો વાંચવા મળે. કરપ્શન તો જાણે જીવનરસ બની આપણી નસોમાં વહે છે. કરપ્શન કોઈને કરપ્શન લાગતું નથી એક વહેવાર લાગતું હોય છે. ભ્રષ્ટાચાર, પૉલ્યુશન, સરકારીતંત્રની નિષ્ફળતા, અધમ પ્રકારે સ્ત્રીઓ પર થતા બળાત્કાર અને અંધશ્રદ્ધામાં ડૂબેલી પ્રજાના સમાચારો વાંચી હૃદય હલબલી જાય. આવા બનાવોની પ્રખર ટીકા થાય તો સામે એના બચાવમાં સ્વાભિમાન ઘવાયેલાના ટોળા ઊમટી પડે. આપણે કમજોર કેમ હતા ને રહ્યા છીએ, આપણે પછાત અને ગરીબ કેમ હતા ને રહ્યા છીએ તેની ફક્ત ફરિયાદ કરવી કે એનો દોષ બીજાને માથે નાખવાને બદલે હવે આપણે એના કારણો વિષે તપાસ કરવી પડશે. આપણે આપણા દોષ જોવાનું શીખવું પડશે અને પછી એની દવા શોધવાનો ઉપાય કરવો પડશે. મહાન સંસ્કૃતિઓ નાશ પામી જતી હોય છે તેનું કારણ ભૌગોલિક પરિસ્થિતિ કે કુદરતી સંપદાનો અભાવ બહુ મહત્વનો નથી હોતો પણ નિયતિ જે પડકાર તમારી સામે મૂકે છે તેને કઈ રીતે ઝીલો છો તેના ઉપર આધાર રાખે છે. યુરોપના ટચૂકડા દેશો વખત જતા આખી દુનિયા ઉપર પ્રભાવી બન્યા તો સૌથી જૂની કહેવાતી સંસ્કૃતિઓ ભારત અને ચીન કેમ નહિ? મૂડીવાદ, ઉદ્યોગીકરણ, નિર્ણાયક પ્રયોગાત્મક સંશોધન જેવા પ્રગતિકારક પરિબળો યુરોપમાં જ કેમ વિકસ્યા એશિયામાં કેમ નહિ ? વાસ્કો-ડી-ગામાનાં વહાણે ભારતના બંદરે લંગર નાખ્યા, જગડુ શાહના વહાણો માટે યુરોપના બંદરો કેમ અજાણ્યા જ રહ્યાં ?
વર્ષો પહેલા રાજકપૂરે બનાવેલું, પ્રણય ત્રિકોણ આધારિત, રાજકપૂર, રાજેન્દ્રકુમાર અને વૈજયંતીમાલા અભિનીત સંગમ મૂવી જોએલું. એના ગીતો આજે પણ ફેમસ છે. ‘યે મેરા પ્રેમ પત્ર પઢકર તુમ નારાજ નાં હોના’, ‘દોસ્ત દોસ્ત નાં રહા’, મૈ ક્યા કરું રામ મુજે બુઢા મિલ ગયા’, વગેરે ગીતો આજે પણ કાનમાં ગુંજે છે. Casablanca મુવી પણ આવું જ હતું, એમાં પણ બે પુરુષો એક સ્ત્રીને ચાહતા હોય અને સ્ત્રી પણ બંને પુરુષોને ચાહતી હોય તેવી વાર્તા હતી. રાજકપૂરે Casablanca પરથી પ્રેરણા લઈને સંગમ બનાવ્યું હોય તેવું પણ બને. જો કે ભારતીય સંસ્કૃતિનો આદર્શવાદી ટચ ઉમેરી દીધો હોય રાજકપૂરે તે સ્વાભાવિક છે. એકંદરે આખી દુનિયામાં પુરુષો એવું માનતા હોય છે કે એમની સ્ત્રી ફક્ત ને ફક્ત એમને જ પ્રેમ કરે, જો કે એમાં કશું ખોટું છે તેવું નથી કહેતો. પણ ક્યારેક હકીકતમાં એવું હોતું નથી. એક સ્ત્રી બે પુરુષોને ચાહતી હોય તેવું પણ શક્ય છે, શક્ય નહિ હકીકત હોય છે. પ્રણયત્રિકોણના બે જાતના પ્રકાર હોય છે.
એક તો બે સ્ત્રીઓ એક જ પુરુષને પ્રેમ કરતી હોય. એમાં પણ પેટા પ્રકાર જોઈએ તો એક પુરુષ બંને સ્ત્રીઓને સરખો પ્રેમ કરતો હોય અથવા એક ને પ્રેમ કરતો હોય પણ બીજી સ્ત્રી એક તરફી પેલાં પુરુષને પ્રેમ કરતી હોય. ગુપ્ત ફિલ્મમાં આવું જ હતું.
બીજા પ્રકારમાં બે પુરુષો એક જ સ્ત્રીને પ્રેમ કરતા હોય અને સ્ત્રી બંને પુરુષોને સરખો પ્રેમ કરતી હોય કે એકાદ પુરુષ પરાણે પાછળ પડ્યો હોય. ઘણી વખત સ્ત્રી કન્ફ્યુજ પણ હોય કે કોને પ્રેમ કરવો ? ઘણીવખત એને બંને પુરુષને સરખો પ્રેમ કરવો હોય પણ પાછાં પેલાં પુરુષો માનવા જોઈએ ને ? પુરુષ થોડો જોહુકમી વાળો વધુ હોય એને એની સ્ત્રીને બીજો કોઈ પ્રેમ કરે તે નાં ગમે.
ફિલ્મો બનાવનારા અને નવલકથાઓ લખનારા લેખકો માટે પ્રણય ત્રિકોણ ગરમાગરમ વિષય હોય છે, એમાં એક જ સ્ત્રીને બે પુરુષો પ્રેમ કરતા હોય તેવો પ્લૉટ કૉમન હોય છે, હોટ ફેવરીટ હોય છે. સ્ત્રી પુરુષ પ્રેમમાં પડે છે, ઇચ્છે છે, અને સિલેક્શન કરે છે. ઇચ્છવું અને સિલેક્શન કરવું બંને જુદું હોઈ શકે છે.
કહેવાય છે કે પુરુષો માટે બે સ્ત્રીઓ સાથે એક પુરુષ યુનિવર્સલ સેકસુઅલ ફૅન્ટસી છે. પણ હકીકતમાં પોર્નોગ્રાફી રેકૉર્ડ કંઈક જુદું જ કહે છે. હકીકતમાં એક જ સ્ત્રી પર બે કે વધુ પુરુષો આધિપત્ય જમાવતા હોય તેવી પોર્નો વધુ જોવાય છે. પુરુષનું મન બે કે વધુ સ્ત્રીઓ ઇચ્છતું હોય છે તે સામાન્ય છે, પણ પુરુષનું શરીર સ્પર્મ કોમ્પીટીશન ને લીધે સેક્સુઅલી એક સ્ત્રી સાથે વધુ પુરુષો જોઈ ને શારીરિક રીતે જાતીય રીતે વધુ ઉત્તેજિત થતો હોય છે. એનું કારણ કદાચ આપણો ઉત્ક્રાંતિનો ઇતિહાસ હોઈ શકે કે જ્યાં જાતીય વર્તણૂક અને જાતીય રિસ્પૉન્સ બહુગામી સમાજમાં વિકાસ પામેલા હતા.
આપણે હ્યુમન જીનેટીકલી પોલીગમસ છીએ, મનોગમી ઉત્ક્રાન્તિના ઇતિહાસમાં નવી વાત છે. આપણો પ્રાચીનતમ સમાજ બહુગામી હતો જ્યાં સ્ત્રીપુરુષને એકબીજાને પામવા સખત હરીફાઈનો સામનો જાણતા કે અજાણતાં કરવો પડતો હતો ફક્ત સેક્સ માટે નહિ ગર્ભધારણ ઉપર પોતાનો કાબૂ મેળવવા માટે પણ. આજે મનોગમસ સમાજમાં પુરુષને ચિંતા હોય નહિ, એની સ્ત્રી એના દ્વારા જ ગર્ભધારણ કરવાની છે. સ્ત્રીને પણ ખબર હોય કે તે કોના દ્વારા ગર્ભવતી બનવાની છે. પણ લાખો વર્ષ સુધી આવું હતું નહિ. એટલે પુરુષો અચેતનરૂપે(unconsciously) આવા જાતીય સંકેતો ને અનુસરતા હોય છે તેમ સ્ત્રીઓ પણ.
એટલે જ્યારે એક સ્ત્રી ઉપર બે પુરુષો આધિપત્ય જમાવતા હોય કે એવો પ્રયત્ન કરતા હોય ત્યારે પુરુષો unconsciously પોતાને વધુ ઉત્તેજિત અનુભવ કરતા હોય છે કે કોણ આ હરીફાઈમાં જીતી સ્ત્રીને ગર્ભવતી બનાવે. એક આકર્ષક સંશોધન એવું કહે છે કે મનોગમસ રિલેશનશીપમાં ઓવુલ્યેશન (અંડમોચન) સમયે સ્ત્રી કહેવાતી બેવફા બનવા આકૃષ્ટ થઈ શકે છે નાં બને તે વાત જુદી છે. વધુમાં શંકાસ્પદ સ્ત્રી પ્રાથમિક પાર્ટનર સિવાય બીજા પુરુષ સાથે વધુ કામાવેશની પરાકાષ્ઠા અનુભવી શકે છે, ખાસ તો જો બીજો પુરુષ “cad” ટાઈપનો હોય તો. Cad એટલે એમના હાઈ લેવલ testosterone ની અસરને લીધે સ્વમતાગ્રહી, દુરાગ્રહી, અડગ, ઉદ્ધત, તોફાની, કૃત નિશ્ચયી, ઝીણી આંખો, મજબૂત જડબા, પાતળા હોઠ સાથે પથારીએ પથારીએ કુદકા મારનારા. એના વિરુદ્ધમાં “dad” ટાઈપ એટલે દયાળુ, હુંફાળા, વિશ્વાસુ, કાળજી રાખનારા, સાંજ પડે ઘર ભેગાં, બાળકો અને સ્ત્રીને સાચવનારા. શંકાસ્પદ સ્ત્રી ઘેર આવે ત્યારે એનો પ્રાથમિક dad ટાઈપ પાર્ટનર પણ સેક્સમાં વધુ જોશીલો અને રફ બની શકે છે ખાસ તો બેવફાઈ દ્વારા ફળદ્રુપ બની ચૂકેલા અંડને સ્થાનભ્રષ્ટ કરવા. જો કે રસપ્રદ સંશોધન એવું પણ કહે છે કે આવી શંકાસ્પદ સ્ત્રી પ્રાયમરી પાર્ટનર જોડે સંસર્ગ કરવા ૨૪ કલાક રાહ જુએ છે. મતલબ બીજા પુરુષ દ્વારા ગર્ભધારણનાં ચાન્સ વધારવા સ્ત્રી ૨૪ કલાક માટે કાયમી પાર્ટનર જોડે સંસર્ગના સંજોગો નિવારી લેતી હોય છે. આ બધું unconsciously થતું હોય છે, અને પ્રણય ત્રિકોણમાં બે પુરુષો વચ્ચે અટવાતી સ્ત્રીઓ બાબતે ખાસ બનતું હોય છે. એક ને વફાદાર કહેવાતા સ્ત્રીપુરુષોએ ચિંતા કરવાની જરૂર નથી.
પુરુષો એમના genes દૂર દૂર અને વિસ્તૃત ફેલાય તેમ ઇચ્છતા હોય છે તો સામે સ્ત્રીઓ લિમિટેડ એગ્સ ધરાવતી હોવાથી વધુ સિલેક્ટીવ હોય છે. બે પુરુષોના પ્રણયમાં અટવાતી સ્ત્રીની મુખ્ય આશા તો વધુ સારા genes ની હોય છે, બે પુરુષો એના માટે કોમ્પીટીશનમાં ઊતરી જે જીતે સ્ત્રીને તો ગેરંટી છે જ વધુ સારા genes મળવાની. એક કરતા વધુ પુરુષો ચાહતા હોય ત્યારે સ્ત્રીને પણ એની પોતાની કિંમત વધુ સમજાય છે. એને લાગે છે તે વધુ કિંમતી છે, વધુ પાવરફુલ છે તો એનો આત્મવિશ્વાસ પણ વધે છે.
સંખ્યાબંધ અભ્યાસ બતાવે છે menstrual cycle પ્રમાણે સ્ત્રીઓની પસંદ બદલાતી હોય છે. ફલદ્રુપતાની ટોચ પર હોય ત્યારે સ્ત્રી masculine અને સામાજિક રીતે આપખુદ પુરુષ પસંદ કરતી હોય છે જેને સાહિત્યની ભાષામાં “cads” કહેતા હોય છે, પણ આવા પુરુષો શૉર્ટ-ટર્મ રિલેશનશિપ માટે જ પસંદગી મેળવાતા જોવા મળ્યા હોય છે. જ્યારે less fertile phases વખતે સ્ત્રીઓ થોડા દયાળુ, થોડા સહ્રદયી જેને સાહિત્યની ભાષામાં “dads” કહેવાય તેવા હુંફાળા, વિશ્વાસુ પુરુષો પસંદ કરતી હોય છે. આવા પુરુષો લૉન્ગ-ટર્મ રિલેશનશિપ માટે વધુ યોગ્ય ગણાતા હોય છે.
‘સંગમ’ ફિલ્મમાં રાજકપૂર cad ટાઈપ બતાવેલા અને જીતેલા પણ ખરા. તો ‘હમ દિલ દે ચૂકે સનમ’ માં અજયભાઈ dad ટાઈપ બતાવેલા અને જીતેલા તો સલમાનભાઈ cad ટાઈપ હારેલા બતાવેલા. આ સલમાનભાઈ હકીકતમાં cad ટાઈપ તો નથી ને ? કોઈ લોંગ ટર્મ રિલેશનશીપ બાંધવા તૈયાર જ થતું નથી ? જસ્ટ મજાક કરું છું. ધડકન ફિલ્મ પણ આવી પ્રણય ત્રિકોણ વાળી હતી. જો કે આપણી બે પુરુષો વચ્ચે અટવાતી એક સ્ત્રીનાં પ્રણય ત્રિકોણ ધરાવતી ફિલ્મોમાં ભારતીય સંસ્કાર પ્રમાણે છેવટે સ્ત્રી એના પતિ ને વફાદાર બતાવવામાં જ આવે છે ભલે તે dad હોય કે cad પતિ હોવો જોઈએ. સ્ત્રી પતિ ને છોડી પ્રેમી સાથે ગઈ હોય તેવી હિન્દી ફિલ્મો હશે પણ મેં જોઈ નથી.
Tyra Banks નો શો આવતો હતો અહીં. એમાં આમ તો ઈલીગલ કહેવાય છતાં એક સ્ત્રી બે પતિઓ સાથે રહેતી હતી તેની સાથેની વાતચીત બતાવેલ. આમ તો અમેરિકામાં પોલીગમી ગેરકાયદે છે એટલે એણે એક પુરુષ સાથે લગ્ન કરેલા અને બીજો એમની સાથે એમજ રહેતો હતો. એને એક બાળક પણ હતું. એના કહેવા પ્રમાણે દુનિયાની સૌથી સુખી સ્ત્રી હતી. એના બાળકને બે પિતાઓનો પ્રેમ મળતો હતો. એ જોબ ઉપર હોય ત્યારે એને કોઈ ચિંતા નાં હોય એક પિતા તો એના બાળકની કાળજી રાખવા ઘેર હોય જ. બીજું એને બે પુરુષો સરખું જ ચાહતા હતા અને તે પણ બંને પુરુષોને સરખો જ પ્રેમ કરતી આમ દુનિયાની તે સૌથી સુખી સ્ત્રી હતી.
ઇતિહાસનું પુનરાવર્તન કાયમ થતું હોય છે. લોકોના સમૂહ, સંસ્થાઓ અને ઘણીવાર આખા દેશ ભયાનક ચીતરી ચડે જેવા કે જેનસાઇડ, જાતિસંહાર, નરસંહાર, હુલ્લડ, દંગા, લૂંટફાટ અને ભ્રષ્ટાચાર એવા અનેક અનૈતિક કૃત્યોની એક શ્રુંખલા ખડી કરી દેતાં હોય છે. આવું કોઈ એકલદોકલ કરતું નથી પણ કોઈ ઝેરી નેતાની દોરવણી હેઠળ બહુ મોટો સમૂહ કરતો હોય છે.
હિટલરે એકલાં હાથે ૬૦ લાખ યહૂદીઓની હત્યા નહોતી કરી. એકલો કઈ રીતે કરી શકે ? કહેવાતા સારા માણસોનાં સમૂહ આવા અનૈતિક કામ કરતો હોય છે. પણ આપણે હંમેશા એના નેતા તરફ આંગળી ચીંધતા હોઈએ છીએ. આજે પણ આપણે એવું જ કહીએ છીએ કે હિટલરે ૬૦ લાખ યહૂદીઓને મારી નાંખ્યા. પણ પણ અને પણ આવા નેતાના અનુયાયીઓ, સમર્થકો કે શિષ્યોની ઇચ્છા, મરજી, સંમતિ, સહયોગ અને રાજીખુશી વગર આવો વિનાશ થઈ શકે નહિ. આપણે કંઈક સારું થાય ત્યારે પણ જરૂર કરતા વધુ ક્રેડિટ લીડર ને આપી દેતા હોઈએ છીએ અને ખરાબ થાય ત્યારે પણ જરૂર કરતા વધુ સજા કે વગોવણી લીડરને આપી દેતા હોઈએ છીએ. લીડર ને ક્યારેક સજા પણ થતી હોય છે ત્યારે અનુયાયી કે સમર્થક બચી જતા હોય છે કે ભાઈ હું તો ઑર્ડરનું પાલન કરતો હતો, કે મારી તો જૉબ જ છે હુકમનું પાલન કરવાની. જવાબદારીમાંથી છટકવાનું સરસ બહાનું.
હમણાં હું નાઝી હન્ટર નામની સિરીઝ જોતો હતો. બીજું વિશ્વયુદ્ધ ખતમ થઈ ગયા પછી હિટલરનાં હુકમ પાળી ૬૦ લાખ યહૂદીઓને મોતને ઘાટ ઉતારનાર જુદા જુદા ઓફિસર્સની શોધ ચાલેલી તેના વિષે આ ટીવી સિરીઝ હતી. દક્ષિણ અમેરિકાના દેશો ખાસ તો આર્જેન્ટીના આવા રાક્ષસો માટે સ્વર્ગ બનેલું. કોઈ ૩૦,૦૦૦ નાં મોત માટે જવાબદાર હતો તો કોઈ ૪૦-૫૦ હજારના મોત માટે, પણ આવી જૉબ કરતા હાથ કેમ નાં કંપ્યો કે હું આવી જૉબ નહિ કરું એવું કહેતા કોણે રોકેલા ? સમૂહ દ્વારા સામૂહિક હત્યાઓ આજે પણ આખી દુનિયામાં ક્યાંક ને ક્યાંક ચાલુ જ હોય છે.
આવા ઘણા દાખલાઓમાં લીડર્સ અને ફોલોઅર્સ પ્રાથમિક રીતે જોઈએ તો ખરાબ હોતા નથી. પ્રકિયા એવી ઊભી થતી હોય છે કે નેતા અને સમર્થકો એમની નૈતિક વિવેકબુદ્ધિ અને સિદ્ધાંતોથી ચ્યુત થઈને એમની ખરાબ વર્તણૂક ને વાજબી ઠેરવવાનું કામ કરતા હોય છે. લોકો હોય એના કરતા પોતાને વધુ નૈતિક માનતા હોય છે અને નૈતિકતા થી દૂર ખસવાની પ્રક્રિયા વધુ ને વધુ અનૈતિક કામ કરવા પ્રેરતી હોય છે અને પછી તે કામો ને વાજબીપણું આપી દેવાતું હોય છે.
ખરાબ વર્તણૂકને વાજબીપણું જુદી જુદી રીતે અપાય છે. પહેલું તો ઇપ્સિત ફળ તરફ ધ્યાન કેન્દ્રીત્ કરવામાં આવે છે. ફળ પ્રાપ્તિના માટેના સાધનો તર્કશુદ્ધ દલીલ વડે યોગ્ય બનાવી દેવાય છે. ફળ કે નિષ્પત્તિ વધારે મહત્વની હોય તો સાધનને વાજબી ઠરાવવાનું પણ બાજુ પર મૂકો. દાખલા તરીકે કોઈ શંકાયુક્ત ટેરરિસ્ટને ટૉર્ચર કરવામાં આવે છે કારણ ટૅરરિસ્ટ હુમલાથી નાગરિકોને બચાવવાના છે. તો ટૅરરિસ્ટ ગૃપને પણ એમના ઇપ્સિત ફળ પ્રાપ્તિ માટે નિર્દોષ લોકોના ખૂન વાજબી લાગે છે.
અનૈતિક વર્તણૂક ને સૌમ્ય પર્યાય વડે સજાવી દો. દાખલા તરીકે ડ્રોન એટેકમાં સિવિલિયન માર્યા જાય તો collateral damage કહી દેવાનું અથવા તો કોઈ પત્રકારનું ગળું કાપી નાખવું હોય તો જે તે સરકારનો જાસૂસ છે અને ભાંગફોડીયા પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે તેવું કહી દેવાનું.
બીજો મસ્ત રસ્તો છે બીજાના અનૈતિક કામો સાથે સરખામણી કરીને વાજબીપણું આપવાનો કે મેં તો કામ કરી આપવાનાં હજાર જ લીધા છે પણ મારા સાહેબ તો પાંચ હજાર લે છે. તોફાનો વખતે બધા લૂંટતા હતા મેં પણ હાથ મારી લીધો. હું નવો હતો કૉલેજમાં ત્યારે મારી પણ પજવણી કરવામાં આવેલી તો મેં પણ નવા છોકરાની પજવણી કરી. એણે છરી કાઢી તો મેં બંદુક ખેંચી, એ લાગનો જ હતો.
નીતિમત્તા તરફથી નિવૃત્તિ એકંદરે માનવસમાજ માટે ભયજનક છે.
એના માટે અંગત રીતે જવાબદારી લેવી પડશે. હું ટોળાની સાયકોલોજીમાં તણાઈ ગયેલો સભ્ય નથી, મારી અંગત જવાબદારી છે કે હું સમુચિત રીતે વર્તન કરું. એક ડગલું પાછળ ખસીને જાતને પૂછવું પડશે કે હું જે કરવા જઈ રહ્યો છું તે સામાન્ય સંજોગોમાં સારું હોત કે ખોટું ? મારી ભાષામાં કોઈ બહાનેબાજી તો નથી ને ? બીજાઓ ને દોષી ઠરાવી દોષમુક્ત બનવા તો નથી માંગતો ને ?
આપણે પુરાણો લખ્યા છે ઇતિહાસ નહિ, પણ ગ્રીક અને રોમનોએ તો પુરાણો સાથે ઇતિહાસ પણ લખ્યા છે. ઇતિહાસ મરોડવામાં આવ્યા હોય તે શક્ય અને જુદી વાત છે. આપણે રામાયણ, મહાભારત અને બીજા પુરાણો દ્વારા જાણીએ છીએ કે રામ અને કૃષ્ણ હતા. પણ આ બધા કાવ્યો છે કોઈ ઇતિહાસ નહિ. જોકે આપણે ત્યાં રામ-કૃષ્ણ ઐતિહાસિક છે કે પૌરાણિક એવી શંકા કરવી પણ પાપ છે. શંકા કરીએ તો નાશ થાય. પણ જિસસ ઐતિહાસિક હતા એવું સર્વસામાન્ય મનાય છે. હવે નવું ઐતિહાસિક સંશોધન સ્પષ્ટ પુરાવા શોધી શકતું નથી કે જિસસ ખરેખર હતા. આમ હવે જિસસ હતા નહિ તો જિસસની ક્રિશ્ચયાનીટી ધર્મ તરીકે mormonism અને બીજા ધર્મોની જેમ દંતકથાઓ આધારિત ગુંથી કાઢવામાં આવી હોય તેવી શક્યતા છે. ઘણાબધા ઐતિહાસિક સંશોધન કરતા પંડિતો જિસસ યુગના (Jesus-era) લેખકોના લેખન કાર્યમાંથી જિસસ વિશેની પ્રમાણભૂતતા શોધવા મથતા હોય છે.
Michael Paulkovich નામના એક લેખકે Free Inquiry, vol 34 issue 5 માં ગોડ ઓન ટ્રાઇઅલ્ નામનો એક સરસ સંશોધનાત્મક લેખ લખ્યો છે. પૌલ્કોવીચને ઇતિહાસમાંથી જિસસનાં અસ્તિત્વના પુરાવાઓની આશ્ચર્યકારક ગેરહાજરી મળી છે. ખાસ તો હિસ્ટોરિયન Flavius Josephus જેણે તેનું Jewish Wars circa 95 CE પબ્લિશ કરેલું તે ઇસુનો સમકાલીન અને નઝારેથ થી ફક્ત એક માઈલ દૂર Japhia માં રહેતો હતો છતાં તે જિસસ અને Nazareth બંનેથી અજાણ હતો. જોકે ઘણા ઇતિહાસકારોના કામમાં પાછળથી જિસસ વિષે બીજા લોકોએ ઘુસાડી દીધું હોય તેવું પણ મનાય છે તેવું Josephus દ્વારા લખાયેલામાં પણ થયું છે તેવું માનવું છે.
જોકે Paulkovich ભાઈએ જોસેફ્સ સાથે બીજા ૧૨૬ ઇતિહાસકારોને તપાસ્યા છે કે જેઓ જિસસના સમકાલીન કે આસપાસના ગાળામાં થયેલા ને જિસસના અસ્તિત્વ વિષે વાકેફ હોવા જોઈએ પણ હતા જ નહિ. દાખલા તરીકે કૃષ્ણ ગોકુળમાં રહેતા હોય અને તેમનો સમકાલીન ઇતિહાસકાર મથુરામાં રહેતો હોય અને તે કોઈ ઐતિહાસિક પુસ્તક લખે તો કૃષ્ણના પરાક્રમો વિષે વાકેફ હોવો જોઈએ અને એના ગ્રંથમાં કૃષ્ણ વિષે કઈક તો લખેલું મળવું જોઈએ. પણ આવો મોટો ઇતિહાસકાર ગોકુલ નજીક મથુરામાં જ રહેતો હોય અને કૃષ્ણનો ક્યાંય ઉલ્લેખ જ નાં કરે તો શંકાસ્પદ લાગે. જસ્ટ આ તો સમજવા માટે દાખલો આપ્યો છે. ચાલો આવો એક ઇતિહાસકાર ભૂલ કરે પણ આવા ૧૨૬ ઇતિહાસકારો જે કૃષ્ણના સમકાલીન હોય અથવા આસપાસના વર્ષોમાં થયા હોય અને કૃષ્ણ જેવા મહાપરાક્રમી વિષે જાણતા જ નાં હોય તે માની શકાય ખરું? જિસસની આશ્ચર્યકારક ગેરહાજરી paulkovich ને જિસસ યુગના ૧૨૬ ઇતિહાસકારોના લખાણોમાંથી મળી છે. ખુદ જિસસે જાતે કશું લખ્યું નથી તો ૧૨૭માં જિસસ પણ એમાં આવી જાય એવો paulkovich નો દાવો છે. પહેલી થી ત્રીજી સદી સુધીના કેટલાય રાઈટર જિસસ થી અજાણ હતા.
અરે બીજી સદીના ક્રિશ્ચિયન ફાધર Athenagoras નાં કોઈ પણ લખાણમાં જિસસ શબ્દ જ નથી વપરાયો. શું તેઓ એમના મુક્તિદાતા ને જાણતા જ નહિ હોય? નવાઈ જેવું લાગે છે ને? કોઈ ભૂલ હશે ? ના; Athenagoras એક પવિત્ર જુના ક્રિશ્ચિયન હતા જે જિસસ થી વાકેફ નહોતા. બાઈબલે પવિત્ર ગણેલા કલાકાર જે પહેલા Saul of Tarsus તરીકે ઓળખાતો એના મુક્તિદાતાને ભૂલી ગયો હતો, આ પૌલ વર્જિન મધર, જીસસના વતન અને એમની લાઈફ ઇવેન્ટથી અજાણ હતો. પૌલે કદી લખ્યું નથી કે જિસસ પૃથ્વી પર આવ્યા હતા. આમ જિસસ હતા કે નહિ, ઐતિહાસિક છે કે દંતકથા આવા અનેક પ્રશ્નો ઉદ્ભવે છે પણ હવે એના સાચા ઉત્તર શોધવા તો મૂશ્કેલ જ છે.
મુખ્ય ધર્મોના આવિર્ભાવ માટેના કારણો જુદા જુદા હોય તેવું માનવાને કોઈ કારણ નથી. તર્કટ ધીમે ધીમે માનવંતા ધર્મ બની જતા હોય છે. શા માટે ઘણાબધા કહેવાતા બુદ્ધિશાળી લોકો ધાર્મિક ઉપજાવી કાઢેલી વાતો(religious fictions) ને માની લેતા હોય છે. એવું કહી શકાય કે આ લોકો સુયોજીત ધર્મ(organized religion) અને હિંમતભર્યા તર્કટ(confidence rackets) વચ્ચેનો ભેદ પારખી શકતા નથી.
અમેરિકન ઇન્ડિયન ફિલ્મ ડાયરેક્ટર વિક્રમ ગાંધીએ “કુમારે” નામની બહુ સરસ ફિલ્મ ૨૦૧૧માં બનાવી હતી. મેં પોતે આ ફિલ્મ જોઈ છે. આજે પણ મારા નેટફ્લીક્સ એકાઉન્ટ ઉપર જઈને મારા આઇફોનમાં હું આ ફિલ્મ જોઈ શકું છું. વિક્રમ ગાંધીએ ભારતના કહેવાતા યોગીઓ, સાધુબાવાઓ અને એમના સંપ્રદાયોનો ખુબ અભ્યાસ કરેલો. એમને લાગ્યું કે પવિત્ર મહાપુરુષો હિંમતવાળા ઠગ લોકો સિવાય બીજું કાઈ નથી. વિક્રમ ગાંધી પોતે વાળ-દાઢી વધારીને સાધુ બને છે. અમેરિકામાં રહેતા હોવાથી ભારતની બોલચાલની શૈલી વિકસાવે છે જેથી અમેરિકનોમાં ઓળખાઈ જાય નહિ અને ઇમ્પ્રેશન પડે. પોતે ‘શ્રીકુમારે’ નામ ધારણ કરી ભારતના કોઈ કલ્પિત ગામથી અમેરિકા પધાર્યા છે તેવું જાહેર કરે છે અને પોતાનો બોગસ રહસ્યવાદી કલ્ટ એરિઝોનામાં શરુ કરી દે છે. આ ભારતની વાત નથી પણ અમેરિકા જેવા દેશમાં પંથ ઉભો કરીને સમર્પિત ચેલાઓનું આખું ગ્રુપ ઉભું કરી દે છે. આ એક રીઅલ પ્રયોગ કરીને ગમે તે બહાને ફિલ્માવી લેવામા આવે છે. લોકોને એમના જીવનના પ્રશ્નોમાં કાઉન્સલિંગ ની જરૂર હોય છે. આ હિંમતવાળા ભેજાબાજોનો જાદુ ચાલી જતો હોય છે કારણ પીડિતોને જે સાંભળવું હોય તે સિફત થી કહી દેવામાં ચાલક હોય છે. એક સમય પછી શ્રીકુમારે પોતે અસલી વિક્રમ ગાંધી તરીકે પ્રગટ થાય છે. બધાને સમજાવે છે કે આ બધું ખોટું જ છે. ખરેખર જોવા જેવી ફિલ્મ છે.
ઓર્ગેનાઈઝ્ડ ધર્મો ને અનેક સાંપ્રદાયિક ધૃષ્ટતા ભરેલા તર્કટો વળગેલા હોય છે જે જાતે દહાડે રિસ્પેક્ટેડ ધર્મ બની જતા હોય છે અને પછી ઓર્ગેનાઈઝ્ડ ધર્મ.
માહિતી સ્ત્રોત અને સૌજન્ય: Michael Paulkovich is an aerospace engineer and freelance writer, a frequent contributor to Free Inquiry and Humanist Perspectives magazines, a contributing editor at The American Rationalist, and a columnist for American Atheist. His book No Meek Messiah was pusblished in 2013 by Spillix.
ગુજરાતી બ્લોગ જગતમાં બેસ્ટ કહી શકાય તેવા બ્લોગ કયા અને કેટલા ? શ્રી વિનય ખત્રીનાં બ્લોગ ફનગ્યાન ઉપર બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪ માટેના નોમિનેશન લેવાનું શરૂ કર્યું છે. સરેક્ષણમાં ભાગ લેવાની છેલ્લી તારીખ છે ૧૮ ઑક્ટોબર. સર્વેક્ષણના તારણો ધનતેર્સ ૨૧ ઑક્ટોબરના રજુ થશે.
એક આદરણીય બહેને સવાલ કરેલો કે આ પુરુષો કલમી બોર જેવા કેમ હોય છે ? મોટાભાગે સડેલા જ નીકળે. મેં હસવામાં કાઢી નાખેલું. આપણે ત્યાં ચણી બોર પાકે ત્યારે લાલ રંગના ખટમીઠાં હોય છે તે ખાઈએ ત્યારે ચેક કરતા નથી કે તે સડેલું છે કે નહિ. અને કલમી બોર મોટા લીલાપીળા રંગના ખાતી વખતે કાયમ ચેક કરવા પડે. લગભગ સડેલા હોય. એકાદ ઉપરછલ્લું બટકું ભરીએ તો સારું હોય અને બીજી બાજુ બટકું ભરીએ કે વધુ ઊંડું ખોતરીએ તો પાછું સડેલું નીકળે. અંદરથી એકાદ સળવળતો કીડો પણ નીકળે. ખાનારની નજરે જોઈએ તો સહેજ સડેલું દેખાય તો ઘણા આખું બોર ફેંકી પણ દે અને ઘણા જો અંદર કીડો નાં દેખાય તો ખંખેરી ને ખાઈ પણ લે અને ઘણા વળી આજુબાજુ કોઈ જોતું નાં હોય તો કીડો ખંખેરી ને પણ ખાઈ લે. જેવી જેની માનસિકતા. ખાતી વખતે કોઈ જોનાર છે કે નહિ તેના ઉપર પણ ઘણો આધાર હોય છે. હવે આ સડેલું એટલે શું?
એમનો કહેવાનો મર્મ એ હતો કે લોહીના સંબંધ નાં હોય ત્યાં પુરુષ હંમેશા સ્ત્રીની મૈત્રીમાં અંતે સેક્સ ઈચ્છતો હોય છે. સેક્સ સિવાય સ્ત્રી પુરુષની મૈત્રી કેમ શક્ય નાં બને ? લોહીના સંબંધ સિવાયની કોઈ સ્ત્રી સહેજ સારું બોલે તરત પુરુષના મનમાં પહેલો ખ્યાલ એની સાથે સેક્સનો આવી જાય. ઘણા શરૂમાં સારા હોય પણ અંતે તો હેમનું હેમ હોયે. દર વખતે અને દરેક સાથે સેક્સ જોઈએ જ એવું સ્ત્રીઓ નથી માનતી. એમનો આક્રોશ સાચો હતો.
Women and men can just be friends… (well, at least women think so). સ્ત્રી અને પુરુષ ફક્ત સારા મિત્રો ના બની શકે? બની શકે તેવું એટ-લીસ્ટ સ્ત્રીઓ વિચારતી હોય છે. પુરુષો મિત્રતા કરતા કૈંક વધુ ઇચ્છતા હોય છે. સ્ત્રીઓ એમના બ્રેનમાં સાદી મિત્રતા અને રોમૅન્ટિક લાગણીઓ ભેગી કર્યા વગર અલગ અલગ રાખી શકતી હોય છે. એટલે પ્રેમની કહેવાતી દિવ્ય અનુભૂતિ સ્ત્રીઓ પામી શકતી હોય છે ત્યાં પુરુષો એને ચૂકી જતા હોય છે. પ્લેટૉનિક પ્રેમ સ્ત્રીઓ માટે શક્ય હોય છે માટે કોઈ મીરાં એના કૃષ્ણને ભજતી આખી જિંદગી એમજ વ્યતીત કરી શકતી હોય છે. પ્રેમ(Love) અને કામેચ્છા(Lust) બ્રેનમા સાથે રહેતા હોય છે છતાં જરૂરી નથી એક જ વ્યક્તિ તરફ બંને સાથે અનુભવાય. પ્રેમ અને કામેચ્છા બંને જુદા જુદા હોય છે પણ બ્રેનમાં એકબીજા ઉપર હાવી થઈ જતા હોય છે. એકબીજામાં ગૂંથાઈ જતા હોય છે. . બંને બ્રેનમાં એક જ વિભાગો ઉપર અસર કરતા હોય છે. એટલે શરૂમાં પ્રેમ અને કામેચ્છા એક જ વ્યક્તિ તરફ અનુભવતા હોઈએ છીએ, પણ જરૂરી નથી કે પ્રેમ અને કામેચ્છા એક જ વ્યક્તિ તરફ જાગે. એવું પણ બને કે પ્રેમ એક વ્યક્તિ તરફ અનુભવાય અને કામેચ્છા બીજી વ્યક્તિ માટે જાગે. .
આમ લવ અને લસ્ટ જુદા જુદા છે પણ એકબીજામાં ગૂંથાઈ જતા હોવાથી એમાં ભેદ કરવો મુશ્કેલ થઈ પડે છે. જેના પ્રત્યે લવ અનુભવીએ તેના પ્રત્યે લસ્ટ પણ જાગે છે. અને જેના પ્રત્યે લસ્ટ જાગે તેના પ્રત્યે લવ પણ જાગતો હોય છે. લવ માટે ઑક્સિટોસિન જેવા વિશ્વાસ જગાવતા ન્યુરોકેમિકલ્સનું પ્રભુત્વ મહત્વનું છે જ્યારે કામેચ્છા માટે ટૅસ્ટાસ્ટરોન જેવાં male ન્યુરોટ્રૅનિઝ્મટરનું પ્રભુત્વ જરૂરી છે. સ્ત્રીઓમાં પણ આ હૉર્મોન થોડા અંશે હોય જ છે. જે સ્ત્રીઓમાં ટૅસ્ટાસ્ટરોન હૉર્મોન થોડા વધુ હોય તો એમની કામેચ્છા પ્રબળ હોય છે. લવ અને લસ્ટ વચ્ચેનો ભેદ સરળતાથી જાણવો હોય તો સમજો દીકરી પ્રત્યે લવ હોય છે લસ્ટ નહિ. માતા પ્રત્યે લવ હોય છે લસ્ટ નહિ.. પતિપત્ની એકબીજા પ્રત્યે લવ+લસ્ટ ભેગું અનુભવતા હોય છે. સ્ત્રીઓ પ્રેમાળ મૈત્રી અને રોમેન્ટિક ઉર્મીઓને જુદી પાડી સાચવી શકતી હોય છે. પુરુષો લવ અને લસ્ટની સેળભેળ કરી નાખતા હોય છે. સ્ત્રીઓ લવ, લસ્ટ અને લવ+લસ્ટ બધાને જુદું જુદું સમજી શકતી હોય છે અને સાચવી શકતી હોય છે. પુરુષોમાં સ્વાભાવિક મેલ હાર્મોન ટૅસ્ટાસ્ટરોનનું પ્રભુત્વ હોવાથી એમની કામેચ્છા પ્રબળ હોય છે પણ તેને જ્યાં ને ત્યાં વ્યક્ત કરી નાખવી જરૂરી નથી.
સેકસુઅલ રી-પ્રોડક્શન રીતે જોઈએ તો સ્ત્રીઓ પાસે લિમીટેડ એગ્સ(અંડ) હોવાથી તેમની નજર ક્વોલિટી તરફ વધુ હોય છે. આમ સ્ત્રીઓ જ્યાં ને ત્યાં સેક્સ ઈચ્છે નહિ તે વાત પુરુષોએ સમજી લેવી જોઈએ. તેવી રીતે પુરુષ પાસે અબજો સ્પર્મ હોવાથી અને સ્પર્મ કોમ્પીટીશન પણ વધુ હોવાથી તેની નજર ક્વોલિટી તરફ ઓછી અને ક્વોન્ટીટી તરફ વધુ રહેવાની માટે જ્યાં ને ત્યાં સેક્સ ઇચ્છે તે વાત સ્ત્રીઓએ પણ સમજી લેવી જોઈએ. અને આ બંને વાતો સ્ત્રીપુરુષ બંનેએ સુપેરે સમજી લેવી જોઈએ. હવે પુરુષ જ્યાં ને ત્યાં સેક્સ ઈચ્છે તેને ખરાબ સમજવું કે નહિ એનો આધાર પણ આપણે કયા સંસ્કાર, સંસ્કૃતિ અને દેશમાં ઉછર્યા છીએ તેના ઉપર આધાર રાખે છે. એક સ્ત્રી કે પુરુષ સાથે લગ્ન કે લીવ ઇન ગમે તે રીતે જોડાયેલા હોઈએ છતાં કોઈ ત્રીજા સાથે સંબંધ રાખવો તે વાત તો પશ્ચિમમાં પણ ખરાબ અને વખોડવા લાયક જ ગણાય છે તે વાત ભારતીયોએ સમજી લેવી જોઈએ.
ભારતમાં એક ખોટી માન્યતા ચાલતી હોય છે પશ્ચિમના લોકો માટે કે પશ્ચિમમાં તો ગમે તેની સાથે ગમે ત્યારે સેક્સ કરી શકાય. ભારતમાં પુરુષ કાયમ તાંબાનો લોટો હોય છે અને સ્ત્રી કાયમ માટીની ઠીકરી પણ પશ્ચિમના પુરુષ અને સ્ત્રી બંને માટે નિયમ સરખો છે. લગ્ન કે લીવ ઇન વડે જોડાયેલ હોય તો બંને માટીની ઠીકરી અને અને છુટા પડ્યા પછી બંને તાંબાના લોટા.. ભારતમાં સ્ત્રીઓના બ્રેનમાં બચપણથી પુરુષો દ્વારા ઠસાવી દેવામાં આવેલું છે કે તમે માટીની ઠીકરી છો અમે તાંબાના લોટા માટે સ્ત્રીઓને પુરુષો હંમેશા સડેલા કલમી બોર જેવા લાગે છે કે આ તાંબાના લોટા અમને ગમે ત્યારે બદનામ કરી શકે છે, તો ભાઈ ચેતતા રહેવું સારું.
અમેરિકામાં કોઈ સ્ત્રીને બ્યુટીફૂલ કહીએ તો ખુશ થાય. થેન્ક્સ કહેશે. અહી ભારતમાં એવું કહો તો કહેશે લાઈન મારે છે. હવે કોઈ સ્ત્રી ભારતમાં કોઈ પુરુષને હેન્ડસમ કહે તો પેલો સમજશે બાઈ ચાલુ છે. એમાં તો મને હેન્ડસમ હોવા છતાં ભારતમાં ૫૦ વરસનો થયો ત્યાં સુધી કોઈ સ્ત્રીએ હેન્ડસમ કહ્યું જ નહિ મારી વાઈફે પણ નહિ. અહી આવ્યા પછી ખબર પડી કે હું હેન્ડસમ છું. એક મિત્રનો સત્ય દાખલો આપું. આ ૪૫ વર્ષના મિત્ર નવાનવા અમેરિકા આવેલા. કોઈ સ્ટોરમાં જોબ કરતા હતા. એક આધેડ સુંદર શ્વેત મહિલા નિયમિત ખરીદવા આવતી. ટીપીકલ પશ્ચિમના લોકો વિષે ગલત ખયાલો સાથે લઈને જ આવેલા આ ભાઈ એના પ્રેમમાં પડી ગયા. એકદમ જીભ ઉપડે નહિ તો એમણે એક નાનકડી પ્રેમનો એકરાર કરતી ચિઠ્ઠી લખીને એના હાથમાં પકડાવી દીધી, પેલીએ લઈ પણ લીધી. ફરી આવી ત્યારે પેલીએ પણ એમના હાથમાં ચિઠ્ઠી પકડાવી દીધી. આ ચિઠ્ઠી પેલા મિત્રે ઘણા દિવસ સાચવી રાખેલી અને મને બતાવી પણ હતી. એમાં પેલીએ લખેલું એનો ભાવાર્થ એવો હતો કે “હું તારી લાગણીઓની કદર કરું છું. મને ખુશી છે કે કોઈ મને પ્રેમ કરે છે પણ હું અત્યારે મારા હસબંડ સાથે રહું છું અને જ્યાં સુધી એની સાથે રહું ત્યાં સુધી મારે તેને વફાદાર રહેવું જોઈએ એવું હું માનું છું. તારા માટે કાયમ માનની લાગણી રહેશે આપણે સારા મિત્રો બની રહીએ પણ હું તારા પ્રેમનો સ્વીકાર કરી શકતી નથી તે બદલ મને માફ કરજે.” એ મિત્રે મને ચિઠ્ઠી વંચાવતા કહેલું જો આપણે કેટલું ગલત સોચતા હોઈએ છીએ આ લોકો વિષે. એ મિત્રે મને કહેલું કે તે ખુબ છોભીલા પડેલા ગિલ્ટી ફિલ કરતા હતા પણ પેલી સ્ત્રી આવતી અને કશું બન્યું નાં હોય એમ પ્રેમથી વાતો કરતી.
આપણી સ્ત્રીઓને તેઓ પવિત્ર છે તેવું સતત પુરવાર કરતા રહેવું પડે છે. એમને કોઈ છાના કામ કરવાના નથી તેવું સાબિત કરવા એમના બેંક એકાઉન્ટ, ફેસબુક એકાઉન્ટ, ઈમેલ એકાઉન્ટ બધું ખુલ્લું રાખવું પડતું હોય છે. બધાના પાસવર્ડ ઘરમાં બધા જાણતા હોય છે. એના ઈમેલ અને ફેસબુક એકાઉન્ટ ખોલીને પતિદેવ બેઠા હોય તો જરાય નવાઈ નહિ. પત્નીના નામે એની સખીઓ કે સખાઓ સાથે ચેટીંગ કરતા હોય ને સામેવાળાને ખબર નાં પડે તેમાં નવાઈ નહિ. એના મોબાઈલનું સીમકાર્ડ પતિદેવ એમના મોબાઈલમાં નાખીને બેઠા હોય તેમાય નવાઈ નહિ. પત્નીની પણ દલીલ હોય કે મારે શું છાનું કરવાનું છે કે બધું સિક્રેટ રાખું ? એમાં પેલા સડેલા કલમી બોર પકડાઈ જતા હોય છે તેવું પણ બનતું હોય છે અને પછી થાય હોબાળો. તારે કશું છાનું કરવાનું નથી માટે બધું ઓપન રાખ તેમાં અને મને તારા ઉપર વિશ્વાસ છે માટે તારી પ્રાયવસીમાં મને રસ નથી એ બેમાં બહુ મોટો ફરક છે.
જો કે હવે નવા જમાના પ્રમાણે બોરની વધુ સારી જાતો પેદા થઈ છે જે બિલકુલ સડેલી નાં હોય, ઊંધું ઘાલીને ખાઈ શકાય તેવી પણ તેના કદરદાન કેટલા ? થોડા અઠવાડિયા ઉપર ક્લિનિકલ સાયકોલોજીસ્ટ અને મેરેજ કાઉન્સેલર DR. Randi Gunther નું ડિસ્કશન હું વાંચતો હતો. એમના કહેવા પ્રમાણે હવે પુરુષો પહેલા જેવા સાવ રહ્યા નથી. હવે પુરુષો ઘર સંભાળે છે. ખાવાનું બનાવવામાં સ્ત્રીઓને મદદ કરે છે. બાળકોના ડાયપર(બાળોતિયા) બદલે છે. બાળકોને લઈને રવિવારે વહેલી સવારે બહાર ફરવા જાય છે જેથી એમની પત્ની આરામથી ઊંઘી શકે. સ્ત્રીને સમાન દરજ્જો આપે છે. હું પોતે નવેક વર્ષથી અમેરિકામાં રહું છું મેં જાતે આ બધું જોયું છે. એક રીસર્ચ એવું પણ છે કે પોતાના બાળકો સાથે રાત્રે ભેગા સુઈ જતા પિતાનું ટૅસ્ટાસ્ટરોન હાર્મોન જે આક્રમકતા માટે કારણભૂત હોય છે તેનું લેવલ ઘટે છે અને ઓક્સીટોસીન લેવલ વધે છે.
Dr. Randi Gunther
આમ પુરુષો પહેલા જેવા જોહુકમી નાં રહ્યા હોય તો હવે સ્ત્રીઓ ખુબ ખુશ હોવી જોઈએ અને ડિવોર્સનું પ્રમાણ ઓછું હોવું જોઈએ. પ્રોફેસર Gad Saad નોંધે છે કે ૧૦૦માંથી ૬૯ છૂટાછેડાની મોંકાણ સ્ત્રીઓ દ્વારા શરુ થાય છે. બ્રિટનમાં આ આંકડો ૭૨નો છે. Dr Randi ટીનેજર હતા ત્યારથી મળેલો એમનો મનનો માણીગર ૫૦ વર્ષથી બદલ્યો નથી. એટલે સફળ લગ્નજીવનના રહસ્ય સારી રીતે જાણે છે. ક્લિનિકલ સાયકોલોજીસ્ટ અને કાઉન્સેલર તરીકે આ મહિલા ૯૦,૦૦૦ કલાક સંબંધોમાં સમસ્યાગ્રસ્ત જોડલા અને એકલા લોકો સાથે રૂબરૂ વાતચીત કરી ચુક્યા છે. એમની ઓફિસમાં એવા પતિદેવો ને મળેલા છે જેઓ પ્રેમાળ, માન આપનાર, કાળજી રાખનાર, ઊર્મિશીલ, ઉત્સાહી, સમર્પિત, વિશ્વાસપાત્ર, પ્રમાણભૂત અને સહાયકારક હોવા છતાં એમની પત્નીઓ એમને છોડી ગઈ હોય છે ફક્ત કઈક જુદું( different kind of man ) શોધવા. આવા ગ્રેટ હસબંડ છોડી થોડી વધુ મર્દાનગી શોધવા નીકળી પડેલી સ્ત્રીઓની એમણે સારવાર પણ કરી છે જે સમજતી હોય કે નવો પુરુષ ઉત્તેજના સાથે વધુ સંભાળ પણ રાખશે.
સ્ત્રી દીવાનખંડમાં એના પુરુષમાં સુકોમળ સખી શોધતી હોય છે અને શયનકક્ષમાં મર્દ યોદ્ધો. આવો સુભગ સમન્વય ભાગ્યેજ મળે અને એકસાથે તો મળવો મૂશ્કેલ. દીવાનખંડની સખી શયનકક્ષમાં સખી બની રહે તે નેચરલ છે. આમ બધા પુરુષો કલમી બોર જેવા નાં હોય તેમ બધી સ્ત્રીઓ પણ ચણી બોર જેવી નાં હોય. બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીનો જમાનો ગયો હવે કલર ટીવી આવી ગયા છે તે પણ સમજવું જરૂરી છે.
પાંચ ડિસેમ્બરે ગુજરાતી બ્લોગ જગતમાં બે વર્ષ પુરા થયા. યાત્રા સુખદ રહી.વાચકોની સંખ્યા ગયા વર્ષ કરતા જેટ સ્પીડે વધી અને પ્રતિભાવોની સંખ્યા બરોબર રહી. ખાસ તો ફેસબુકનો એમાં મહત્વનો ફાળો રહ્યો. ફેસબુક મિત્રો ત્યાં જ પ્રતિભાવ આપી દેતા હોય છે. આ વર્ષે નવા વિષય ઈવોલ્યુશનરી સાયકોલોજી વિષે વધુ લખ્યું. માનવ સ્વભાવના જટિલ સત્યો વિષે જાણવાનું, વાંચવાનું, એનો અભ્યાસ કરવાનું, મનન કરવાનું, ભારતીય સંસ્કૃતિ સાથે ભારતીય સમાજ વ્યવસ્થા સાથે એનો તાલ મીલાવવાનો અને પછી લખવાનું તે પણ સરળ શબ્દોમાં ખૂબ અઘરું પડતું હતું. ઘણીવાર તો એક જ વિષય ઉપર જુદા જુદા મનોવૈજ્ઞાનિક લેખકોના પંદર વીસ કે પચીસ લેખો વાંચીને એકાદ લેખ મૂક્યો હશે.
“દિવસે નિંદ્રા રાત્રે કામ,
ક્યારે ભજવા બ્લોગ રામ.”
આજની સાથે ૨૭૦ પોસ્ટ અને લાખ કરતા વધુ હીટ(મુલાકાતી) મેળવીને સેરેટોનીન અને ડોપામાઈન જેવા હેપી કેમિકલ્સનો સારો એવો ડોઝ મળી ચૂક્યો છે, સાથે બ્લોગર મિત્રો, ફેસબુક મિત્રો તથા જાણ્યા અજાણ્યા અનેક વાચક મિત્રોનો સહકાર અને મારામાં મુકેલા વિશ્વાસે ઓકસીટોસીન જેવા હેપી રસાયણનો ખૂબ મોટો ડોઝ પણ મેળવી ચૂક્યો છું.
જાણે અજાણ્યે કોઈની લાગણી દુભવી હોય તો ક્ષમા આપશો. સર્વે વાચક મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું.
શ્રી કૃષ્ણ ગેંડી દડો રમતા હતા. હોકીનું પ્રાચીન સ્વરૂપ એ હશે. ભારતીય હોકીનો ભૂતકાળ બહુ ભવ્ય છે. ભારતની રાષ્ટ્રીય રમત હવે જાણે અળખામણી બની ચુકી છે. કોઈને હોકીમાં રસ જ નથી રહ્યો. ક્રિકેટ હવે બિન સત્તાવાર ભારતની રાષ્ટ્રીય રમત બની ચુકી છે. ખાલી સરકારી જાહેરાત જ બાકી છે. તે પણ હવે કરી દેવી જોઈએ. હોકીના મોટાભાગના ખેલાડીઓ ભારતીય સૈન્યમાંથી આવતા હતા. ફરજના ભાગરૂપે હોકી રમતા હશે કોઈ વધારાના પુરસ્કારની આશા વગર, પણ દિલોજાનથી રમતા હતા. મેજર ધ્યાનચંદનું નામ સુવર્ણ અક્ષરે ભારતીય હોકીમાં લખાયેલું છે. હોકીના જાદુગર હતા. બર્લિન ઓલોમ્પિક વખતે હિટલરે એમની હોકીને હાથમાં લઈને ફેરવી ફેરવીને જોએલી. કે કોઈ ગુંદર તો નથી લગાવ્યો કે સ્ટીકને બોલ છોડતો જ નથી.
ક્રિકેટમાં ૧૯૮૩મા વર્લ્ડ કપ જીત્યા હતા, ત્યાર પછી ૨૮ વર્ષ બાદ હમણા ફરી જીત્યા. એમાં તો કોઈ મોટી ધાડ મારી લીધી હોય તેમ આખો દેશ જાણે એક ઉન્માદમાં સરી પડ્યો. હોકીમાં સતત છ ઓલોમ્પિકમાં ગોલ્ડ કપ મેળવી ચુક્યા હતા. કુલ્લે આઠ ગોલ્ડ કપ, એક સિલ્વર અને બે બ્રોન્જ કપ જીતી લાવ્યા છે. પણ સતત અંગ્રેજોને ગાળો દેતી પ્રજાનો દંભ જુઓ. પોતાની રાષ્ટ્રીય રમતની અવગણના અને અંગ્રેજોની ક્રિકેટ પાછળ પાગલપન. અંગ્રેજોના ગુલામ રાજાઓ એની પાછળ પહેલા ગાંડા હતા. હવે પ્રજા પણ એની પાછળ ગાંડી થઇ ગઈ છે.
એક રમત તરીકે ક્રિકેટને હું વખોડતો જરાપણ નથી. બસ ભારતીય હોકીની અવહેલના મને ખુબ કઠે છે. શ્રીમંત અંગ્રેજોએ ટાઈમ પાસ કરવા પાંચ દિવસની ક્રિકેટ શોધી કાઢી. એમ રાજા મહારાજાઓએ ઘોડા ઉપર બેસી હોકી રમાય તે શોધી કાઢ્યું જેને પોલો કહેવાય છે. શિખ ત્રાસવાદનું સત્યાનાશ વાળવામાં સફળ રહેલા કુંવરપાલસિંહ ગીલ, હોકી ફેડરેશનનાં ચેરમેન બન્યા પછી ભારતીય હોકીનું સત્યાનાશ વાળવામાં પણ પુરતા સફળ રહ્યા છે. હોકીમાં ભારત અને પાકિસ્તાન બંને દેશોનું વિશ્વમાં પ્રભુત્વ રહ્યું છે. પણ આજે બંને દેશોની હાલત હોકીની બાબતમાં કફોડી છે. બીજા દેશો પણ આપણી હોકી રમે છે, તેમ આપણે પણ ક્રિકેટ રમીએ તેમાં ખોટું કશું નથી. પણ એક ક્રિકેટ સિવાય પણ દુનિયામાં ઘણું બધું છે. આપણે પર્શનલ ઇવેન્ટ રમતોમાં અબજની વસ્તી ધરાવતા હોવા છતાં કશું ઉકાળી શકતા નથી. શુટિંગમાં પહેલી વાર સિલ્વર મેડલ મળ્યો ત્યારે એ સૈન્યના રાજસ્થાની રાજપૂત જવાન પાસે સારી રાઈફલ લેવા પૈસા નહોતા. કે ટ્રેનીગ માટે ચુકવવાની પુરતી ફીસ નહોતી. અને કોઈ સ્પોન્સર કરવા તૈયાર નહોતું. જ્યારે અભિનવ બિન્દ્રા પોતે પૈસાવાળા હોવાથી ઘરના પૈસે વિદેશમાં ટ્રેનીગ લઈને સારી રાઈફલ વગેરે ખરીદી ગોલ્ડ મેડલ પહેલીવાર જીતી લાવ્યા. રમતજગત પ્રત્યે આપણે હંમેશા દુર્લક્ષ જ રાખ્યું છે. ખેલકૂદ જીવનમાં ખાસ જરૂરી છે. એનાથી શરીર સૌષ્ઠવ કેળવાય. સ્પોર્ટીંગ સ્પીરીટ આવે. ઉત્સાહ અને
સાહસવૃત્તિ કેળવાય. આદિવાસી જાતોમાંથી આપણને સારા દોડવીર અને તીરાન્દાઝ મળી રહે તેમ છે. પણ રાજકારણ અને ભ્રષ્ટાચાર તેમ કરવા દે તો ને?
નોંધ:- ઉપર મુકેલો ફોટો બર્લિન ઓલોમ્પીકમાં(૧૯૩૬) ગોલ્ડ મેડલ જીતી લાવનાર હોકી ટીમનો છે.
દીકરીઓ વિષે સહુ કોઈ લખે છે. ભલે મારે દીકરી નાં હોય, પણ હું કેમ નાં લખું દીકરીઓ વિષે?મારી કેટલી બધી ભત્રીજીઓ મને કહે છે કે કાકા અમે તમારી દીકરીઓ જ છીએ ને ? મોટાભાઈના દીકરી ભાગ્યે જ બોલે. નાનપણથી જ ખાસ ના બોલે. મને ઘણી વાર એવું થાય કે આ દીકરી ને જિહ્વા નથી કે શું?આજોલ પાસે સંસ્કાર તીર્થમાં ભણવા મુકેલા. મને થાય કે આ દીકરી કદી કોઈ ની સામે બોલતી નથી ને સહ વિદ્યાર્થીનીઓ હેરાન કરશે. કોઈ વિચિત્ર શિક્ષક કે શિક્ષિકા તકલીફ આપશે, તો પણ કદી નહિ બોલે. કદી કોઈ ની આગળ ફરિયાદ નહિ કરે. ઘણી વાર ભાઈ ઉપર ગુસ્સો આવે આવો નિર્ણય શું કામ લીધો હશે? સત્ર શરુ થાય એટલે માણસા મૂકી ને જતા રહે. આગળ સંસ્કારતીર્થમાં મૂકી આવવાની જવાબદારી મારી. આજોલ ઉતરી ચાલતા ચાલતા જવાનું. યાદ નથી પણ બેચાર કિલોમીટર હશે. રસ્તામાં વારંવાર કહ્યા કરું કે કોઈ પણ તકલીફ હોય તો મને કહેવાનું. પણ ચુપ જ રહે. ખાલી હા કાકા ! હા કાકા !એમ કહ્યા કરે. પાછો સત્ર પૂરું થાય કે લેવા જાઉં. પાછો પૂછ્યા કરું કે કોઈ હેરાન તો નથી કરતુ ને? પણ નાં કાકા ! એવો જવાબ મળ્યા કરે. મને થાય કે આ પરણી ને સાસરે જશે તો ગમેતેટલા દુખડા પડશે કદી ફરિયાદ નહિ કરે.
એમના લગ્ન સમય ની વાત છે. જાન આવવાની બેત્રણ કલાકની જ વાર હતી ને એમના પિતાશ્રી એટલે અમારા મોટાભાઈશ્રી ને કોઈ કારણવશ હાર્ટ એટેકનો હુમલો આવ્યો. આ દુખદ સમાચાર ભાભીશ્રી ને જણાવવાની કપરી જવાબદારી મારે ભાગે આવી હતી. એક વાર તો ઢગલો થઇ ને બેસી પડ્યા. પણ મૂળ હિંમતવાળો સ્વભાવ, અમે બીજા ત્રણ ભાઈઓ તો પડખે હતા જ, અમારા ભાભીશ્રી એ વિધિ વિધાનની જવાબદારી સફળતા પૂર્વક પાર પાડી અને જાન તથા મહેમાનો વિગેરેની બીજી જવાબદારીઓ અમે બધાએ પૂરી કરી. આ દીકરીના દિલ ઉપર શું વીત્યું હશે? ખરા ટાણે પિતા હોસ્પિટલમાં, થોડું લાગણીયો ઉપર કાબુ રાખ્યો હોત પિતાશ્રીએ તો? જીવનના એક અતિ મહત્વના દિવસે વિદાય વેળાએ હોસ્પિટલની મુલાકાત લઈને વિદાય થવું કેટલું અઘરું લાગ્યું હશે? વિદાય વેળાંએ જાણે એમની રડતી આંખો અને મુક હોઠ બોલતા હતા કે ‘કાકા ! ! ઓ કાકા મારા પપ્પાને સંભાળજો !!’ આ લખતા પણ મારી આંખોમાં આંશુ ધસી આવે છે.
પણ અત્યારે તો એક દીકરી ને એક દીકરાની માતા બની ચુકી છે. એમના પતિદેવે એક નાનું સરખું સામ્રાજય જ વસાવી લીધું છે, એના સમ્રાજ્ઞી છે. હવે તો જુઓ તો ઠસ્સાદાર લાગે. કોઈ એમની સામે બોલી ન શકે. કેટલું બધું પરિવર્તન? માતાને અને પિતાને બંને ને દીકરો બની સાચવે છે.
બીજા મોટાભાઈના દીકરી. બેંગલોરમાં રહેલા ભણેલા ગણેલા પણ ત્યાં. અંગ્રેજી બોલે ફડફડાટ. કન્નડ બોલે કડકડાટ ને ગુજરાતી બોલે ભડ ભડાટ. નાના ઢીંગલી જેવડા હતા. મને ઊંધા સુઈ જવાની આદત. ઉપર ઘોડો કરી ને બેસી જાય. એમના મમ્મી લડે કાકા ને સુવા દે. પણ હું ના પાડું કે બેસવા દો. રમવા દો. એક વાર બરડામાં ભીનું ભીનું લાગ્યું. મને થયું આ શું થયું? કેમ ભીનું લાગ્યું, ઠંડુ લાગ્યું? જોયું તો ઢીંગલી લાળરસ ટપકાવતા ને થપ થપાવી ને આનંદ લેતા. ઓત્તારીની ! આવું કરવાનું કે જાય ભાગ્યા. આખો દિવસ કાકા ! કાકા ! કરી ને પાછળ પાછળ ફર્યા કરે. હું તો તેડી તેડી ને રમાડતા થાકું નહિ. એકાદ વર્ષ સંજોગોવશાત માણસા રહ્યા હતા. મારી સાથે ખેતરમાં આવે. સાવ નાની ઢીંગલી, બહુ વહાલી લાગે. કદી ખેતરમાં ફરેલા નહિ. સેન્ડલમાં કશું ભરાય છે, એવું કહ્યા કરે. મને સમજ નાં પડે, કારણ કન્નડ શબ્દ વાપરે. મન્નુ કે એવો કોઈ શબ્દ હતો. હું શું ? શું ? એમ પૂછ્યા કરું. એટલે એમની નાનકડી આંખોમાં મીઠો છણકો દેખાય. આ કાકો સમજતો કેમ નહિ હોય? પછી ખબર પડી કે સેન્ડલમાં રેતી ભરાઈ જતી હતી. બપોરે તો કાકા જોડે જ ગળે વળગી ને સુઈ જવાનું. રાતે પણ મમ્મી જોડે થી ભાગીને ક્યારે કાકા જોડે આવી સુઈ જાય ખબર નાં પડે. બેંગ્લોર થી આવે એટલે કાકા ને ગળે વળગી પડે. કાયમનો નિયમ. લગ્ન થયા કે બાપ દીકરીએ તો વિદાય ટાણે મળતી વખતે નહિ રડવાનું નક્કી કરેલું. બાપ તો મક્કમ હતા. અંદર થી રડતા હશે, પણ બહાર થી હોઠ ભીડી ને ના રડવાનો અભિનય કરતા હતા. મંડપમાં ગીત પણ કન્યા વિદાય નું કરુણ રસ ફેલાવતું વાગતું હતું. મુજ પથ્થરની આંખોમાં થી પાણી ટપકવા માંડ્યું, ભાઈ આપણે તો રડી પડ્યા. રડતા જાય ને કહેતા જાય.
‘કાકા નહિ રડવાનું.’
‘ઓ દીકરી ! ! આજે તો રડવા દે ! પછી કદી નહિ રડું.’
મારા અતિ વહાલા પિતાશ્રીના મૃત્યુ સમયે પણ હું નહિ રડેલો . બરોડા આવે એટલે નિયમ પ્રમાણે ગળે વળગવાનું. દિલ બાગ બાગ થઇ જાય. ને જતી વખતે પણ ગળે વળગવાનું દિલના ચૂરે ચુરા થઇ જાય. પણ એક વાર નિયમ તુટ્યો. દીકરી પોતે એમની નાનલી દીકરી તેડીને આવ્યા. મેં તો દોડીને નાનલી મારી દીકરીની કોપી ને લઇ લીધા ને રમાડવા લાગ્યો.
કાકા ! ! આ કેવું? દીકરીની દીકરી આવી એટલે મૂળ દીકરીને ભૂલી ગયાં ને?
ઓ ! દીકરા બહુ મોટી ભૂલ થઇ ગયી.
ગળે વળગાડ્યા ત્યારે શાંતિ થઇ. આજે તો એમનો સંસાર વસાવી ને બેસી ગયા છે. પણ અતીતના ઊંડાણમાંથી કોઈ વાર સાદ સંભળાય છે.
કાકા ! ઓ કાકા ! જુઓને આ સેન્ડલમાં રેતી ભરાઈ ગઈ છે.
ઝબકીને જાગી જાઉં છું. પથ્થરમાંથી ટપકેલા પાણી થી ઓશીકું ભીંજાયા નો અહેસાસ થાય છે.
* મારા પિતરાઈના દીકરી બરોડા એમના ફોઈના ત્યાં નાના હતા ને આવેલા. તે હું પણ બરોડા હોવાથી મારા ઘેર લઇ આવેલો. મારા છોકરાઓને છૂંદો ને રોટલી બહુ ભાવે. મારો નાનો દીકરો એમને નાસ્તો કરવા બોલાવે , જીજા ચાલો છૂંદો ને રોટલી ખાવા. આજે પણ ફોન કરું તો પૂછું કે છૂંદો ને રોટલી ખાધા? તરત સમજી જાય કે કાકાનો ફોન છે. હસી પડે હા કાકા ખાધા ! મને કાયમ સ્વીટેસ્ટ અંકલ કહે. માણસા મારા ઘરનું કોઈ રહે નહિ. હું વર્ષ માં બેત્રણ વાર જાઉં. સાફસફાઈ કરાવું. કોઈ લગ્ન પ્રસંગ હોય તો હાજરી અપાઈ જાય. બપોરે મારા કઝન એમના ઘેર આવે એટલે મારું જમવાનું એમની સાથે જ હોય. આ દીકરી નાના હતા ત્યારથી બોલાવા આવે.
‘કાકા જમવા ચાલો, પપ્પા રાહ જુવે છે.’
થોડી વાર લાગે જતા તો પાછા આવે. કાકા જમવા ચાલો. ડાઈનીગ ટેબલ પાસે જ ઉભા હોય. કાકા લો ખવાશે, ખવાશે કહી પેટ ફાટી જાય તેટલું પીરસ્યાં કરે. એમના પપ્પા સામે કંઈક ભૂલાય જતું હોય તેમ જોયા કરે. પપ્પા એમને એક કોળીયો ખવડાવે ત્યારે ખુશ થાય. કાયમનો નિયમ. પપ્પાના હાથનો એક કોળીયો ભરવાનો. મારા જોયેલા સૌથી સુંદર દ્રશ્યોમાનું એક આ દ્રશ્ય. પપ્પા ના હાથ નો કાયમ એક કોળીયો ભરતી આ દીકરી. આખું ગામ ને નગરપાલિકા એકલા હાથે ધ્રુજાવતા એમના પપ્પા આ દીકરી આગળ મીણ જેવા થઇ જાય. એમના લગ્ન સમયે હું તો અહીંથી જઈ નહોતો શક્યો. લગ્ન પછી ફોન પર પૂછેલું કે
‘વિદાય વેળાએ પપ્પા બહુ રડ્યા હશે નહિ?’ તો કહે
‘કાકા તમને કેવી રીતે ખબર પડી?’
અરે ભાઈ ! ભલે મારે દીકરી ના હોય પણ હૃદય તો દીકરીના બાપ નું ધરાવું છું. પછી કહે કાકા પપ્પા બહુ રડેલા એક કોળીયો પણ ખાધેલો નહિ. મને ખબર હતી. ગામમાં કોઈ ચુ કે ચા કરી ના શકે એવો આ મારો ભાઈ અંદરથી સાવ મીણ જેવો છે. વિચારતા હશે કે હવે ડાઈનીંગ ટેબલ પાસે કોળીયો ખાવા કોણ ઉભું રહેશે? અને એક કોળીયો ભરાવ્યા વગર ગળે કોળીયો કઈ રીતે ઉતરશે? પપ્પા હવે છોડો ને કહી ઉગ્રતા ઠંડી કોણ પાડશે? પહાડ જેવો બાપ દીકરીની વિદાય વેળાએ ભાગી પડ્યો. નાના બાળક ની જેમ ધ્રુસકે ધ્રુસકે રડ્યો. છાના રાખવા જવા ની પણ કોઈ ની હિંમત નાં ચાલે. હજુય ઘરમાં પેસતા જ નિયમ પ્રમાણે પ્રથમ દીકરીના નામનો સાદ પડાઈ જતો હશે. સાસરે રહેલી દીકરી ને વ્યથિત બાપનો સાદ અવશ્ય સંભળાતો હશે. એનો અહેસાસ થતો હશે કે પપ્પાને મને કોળીયો ભરાવ્યા વગર ખાવાનું ગળે નહિ ઉતરતું હોય. મને પણ અતીતના અતલ અંધકારમાંથી ઘેરો સાદ સંભળાય છે
‘કાકા જમવા ચાલો પપ્પા તમારી રાહ જુવે છે.’ આંખ ના ખૂણા ભીના થઇ જાય છે.
* ભાઈ હવે લખવાની ત્રેવડ રહી નથી અત્યાર સુધી લખેલા લેખ બધા એક ઝાટકે લખેલા છે. કોઈ બ્રેક વગર. પણ આ આર્ટીકલ લખતા ભારે પડી ગયું છે. બીજી મારી દીકરીઓ વિષે લખવાનું હવે ગજું રહ્યું નથી. મારું સૌથી અપ્રિય ગીત હોય તો ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ તે છે. આ બધી દીકરીઓ પારકી થાપણ નથી, વસ્તુઓ કે ફિક્સ્ડ ડીપોઝીટ નથી. આતો હૃદયના ટુકડા છે. મને હજુય એમના સાદ સંભળાય છે. આ તો મારા અસ્તિત્વના અંશ છે. દીકરી ને ગાય દોરે ત્યાં જાય? દીકરીઓ શું પશુ છે? એનિમલ છે? મુરખો! એક સ્ત્રી માતા બને છે ત્યારે પૂર્ણત્વ પ્રાપ્ત કરે છે. અને એક પુરુષ જયારે દીકરીનો પિતા બને છે ત્યારે એનું પિતૃત્વ પૂર્ણ થાય છે.
આ બધી દીકરીઓ એમના નાનકડા સામ્રાજ્યની મહારાણીઓ છે. એમનું માન સન્માન છે. એમનું પોતાનું એક અસ્તિત્વ છે. કોઈ એમની સામે આંખ ઉંચી કરી ને જોઈ શકે તેમ નથી. ગમે તેવાને ભૂ પાઈ દે તેવી છે. દીકરાઓ કરતા સવાઈ છે. પારકા ને પોતાના કરવાનું મને આ દીકરીઓએ જ શીખવાડ્યું છે. નિર્મળ પ્રેમના ઝરણા જેવી આ મારી દીકરીઓ માટે અમને ખુબ ગર્વ છે.
* કોઈ ધનસુખભાઈ ભગવાન માં બિલકુલ માનતા નથી.ને ભગવાન ના મંદિરમાં ઘરમાંથી કોઈને કદાચ ભૂલથી જવું પડે તો અવળા ફરી ઉભા થઇ જાય છે.કેમ?ભગવાન છે એવી માન્યતા ની બિલકુલ વિરુદ્ધમાં ઉભા થઇ ગયા છે.પહેલા ભગવાન માં માનતા હતા.પણ પત્ની જોડે અણબનાવ થયો ને છુટા પડવાનું થયું એટલે માનતા બંધ થઇ ગયા.ભગવાન પ્રત્યેની એમની નારાજગી માં ઘરના બધાને પ્રયત્ન પૂર્વક જોડી દીધા છે.અને હવે ઘરના બધા સ્વેચ્છાએ ભગવાન ને માનતા નથી.કોમ્પ્લીકેટેડ કેસ છે.પત્રકારોને તો પ્રસિદ્ધિ જોઈતી હોય છે.કોઈને એમના અંતરમનમાં ઝાંખવાની જરૂર જણાતી નથી.
*કોઈ નાનું બાળક રિસાઈ જાય એને ચોકલેટ ના આપીએ તો.એના માબાપ ને કહે કે જા તારી કિટ્ટા.ક્યાંક એવું તો નથીને?જો તમે ભગવાન માં માનતા જ ના હોવ તો મંદિર માં જઈને નારાજગી થી અવળા ફરવાની જરૂર મને તો જણાતી નથી.તમે નારાજગી થી અવળા ફરો છો,મતલબ એમાં ભગવાન છે.જો એ પથ્થર ની મૂર્તિ ભગવાન નહોય તો અવળા ફરવાની જરૂર જ શી છે.અઘરું છે સમજવું.એક દાખલો,એક સંત અને એમની પત્ની જંગલ માં જતા હતા.સંત આગળ હતા જરા.પત્ની જરા પાછળ હતા.રસ્તામાં સંતે જોયું કે સોનાનો કોઈ હાર પડ્યો હતો.સંત ને થયું સોનાનો હાર જોઈ સ્ત્રી સહજ સોના પ્રત્યેની પ્રીતિ ને લીધે પત્ની નું મન ચળી જશે ને,હાર લઇ લેવા દબાણ કરશે.એટલે સંતે એના ઉપર ધૂળ ઢાંકી દીધી નીચા નમીને.બધાને સંત નું કામ સારું લાગશે.ખરુંને?પણ ના મનોવિજ્ઞાન કઈ જુદું કહે છે.હવે સંત ના પત્નીએ આ જોયું,બહુ દુર નહતા.નજીક આવીને જોયું ને પુછ્યું કે શું કરો છો?ધૂળ ઉપર ધૂળ શું કામ નાખો છો?ગાંડા થયા છોકે શું?સમજાયું હવે?સંત સોના ને સોનું સમજતા હતા.અને એમના જ્ઞાની પત્ની સોનાને ધૂળ જ સમજતા હતા.તો ધૂળ ઉપર ધૂળ નાખવાનું કામ કેમ કરવાનું?સંત સમજતા હતા કે પત્ની ચળી જશે.પણ પત્ની તો સોનાને ધૂળ જ સમજતા હતા.સંત એમના પત્નીને નમી પડ્યા ને કહે તારી વાત સાચી છે,તે આજે મારી આંખો ઉઘાડી નાખી.
*ક્યાંક ઊંડે ઊંડે ધનસુખભાઈ ને પથ્થરની મૂર્તિ માં ભગવાન દેખાય છે એટલે અવળા ફરી જાય છે અથવા મંદિર માં જતા નથી.પહેલા મનોવૈજ્ઞાનિકો અનકોન્સીયાશ માઈન્ડ કહેતા હતા હવે સબકોન્શીયાશ માઈન્ડ કહે છે.એને અચેતન મન કહી શકાય.ક્યાંક ઊંડે અચેતન મન માં ભગવાન છુપેલો છે.જે વસ્તુ ને તમે માનતા ના હોય તેને નથી એવું સાબિત કરવાનો પ્રયત્ન પણ શું કામ?
*હું હમેશા કહું છુકે ભગવાન કોઈ વ્યક્તિ નથી. ભગવાન કોઈ વ્યક્તિ નથી જ.મેં વારંવાર મારા લેખોમાં લખેલું છે.”ધોરાજીમાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ” વાળા લેખ માં લખેલ છે.કોઈ ગધેડા ને બ્રેન મળે ને ભગવાન ની કલ્પના કરે તો જરા સાઈજ માં મોટા ગધેડા ની કલ્પના કરી લે.કુદરત ને તમે ભગવાન કહી શકો.કુદરત ના અફર નિયમો છે,એને ભગવાન કે કુદરત કે કોઈ એક શક્તિ છે જેના વડે આખું જગત ચાલી રહ્યું છે,એવું કહી શકાય છે.કોઈ ભગવાન માણસ નુ રૂપ લઇ ઉપર બેઠો બેઠો મેનેજમેન્ટ કરતો હોય એવું લોકોને લાગી રહ્યું છે.તે તદ્દન ખોટું જ છે.હું એવા કોઈ ભગવાન માં માનતો નથી.જે અવતારોની વાતો છે,એ લોકો કદાચ સેલીબ્રીટી કહી શકાય એમના જમાનાના.ભગવાન મનાવીને એ લોકોની ભૂલો પ્રત્યે કોઈનું ધ્યાન જ જતું નથી.ભગવાન ના નામે મોટો ભયંકર ધંધો ચાલી રહ્યો છે.લોકો કચડાઈને મરી પણ જાય છે.
*દરેક વસ્તુ સજીવ કે નિર્જીવ દરેક અણુ,પરમાણું થી બનેલી છે.ફક્ત માત્રા નો ફેર છે.ઈલેક્ટ્રોન,ન્યુટ્રોન,પોઝીટ્રોન કે પ્રોટોન થી બનેલી છે.એક પ્લસ છે,એક માઈનસ છે અને ત્રીજો ન્યુટ્રલ છે.આ ત્રણ વડે આખા વિશ્વ ની રચના થઇ છે.નાતો કોઈ નો નાશ થાય છે.ફક્ત રૂપાંતર થાય છે.એનર્જીનું પદાર્થ માં અને પદાર્થ નું એનર્જી માં.આ ત્રણ જ દરેક માં છે.પથ્થર માં પણ આ ત્રણ જ છે.કણ કણ માં આજ ત્રણ છે.દેખાતા પણ નથી નરી આંખે.અને છતાં છે.આ ત્રણ જ હિન્દુઓના બ્રહ્મા,વિષ્ણુ ને મહેશ છે.અને ખ્રિસ્તી લોકોના ગોડ,હોલી ઘોસ્ટ અને જીસસ (પયગંબર) છે.આ જ નિરંજન નિરાકાર છે.તો આકાર આવ્યો ક્યાંથી?સાયન્સ હવે લો ઓફ સીગ્યુંલારીટી ની વાત કરે છે.બધું એકજ વસ્તુ માંથી બનેલું છે.આજ શંકરાચાર્ય નો અદ્વૈતવાદ છે.દ્વૈત એટલે બે અને અદ્વૈત એટલે એકજ.એટલે જ શંકરાચાર્ય અહમ બ્રહ્માસ્મિ કહી શક્યા.એટલે જ નરસિંહ મહેતા બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે,નામ રૂપ જુજવા અંતે તો હેમ નું હેમ હોયે,આવું કહી શક્યા.એટલેજ મીરાં બાઈ કહી શક્યા કે પ્રેમ ગલી અતિ સંકરી જિનમેં દો ના સમાય.
*હું એ ભગવાન માં નથી માનતો જે રીતે ગુરુઓ મનાવે છે.ના તો કદી દીવો કરતો કે ના તો ઉપવાસ,મને ક્યારેય યાદ નથી આવતું કે મેં શીતળા સાતમે ઠંડુ ખાધું હોય,કે આઠમ કરી હોય.ક્યારેય મારા છોકરાઓ નાના હતા ત્યારે કદી મેશ આંજી છે કે સાજા કરવા કોઈ બધા રાખી છે.પિતાજી મને એક વાર હરદ્વાર લઇ ગયેલા ગાયત્રી આશ્રમ માં.એ વખતે હું યુવાન હતો.માતા ભગવતી દેવી રોજ બેસતા ફિક્સ ટાઈમે એક હોલ માં.બધા ભક્તો ત્યાં આવે અને માતાજી આગળ સંસારિક દુઃખોમાં થી મુક્ત થવા જાતજાત ની માંગણીયો કરે.કોઈને નોકરી જોઈતી હોય,કોઈનું છોકરું ભાગી ગયું હોય,કોઈને ધંધા ની તકલીફ હોય.બધા વારાફરતી આગળ આવે ને માતાજી આગળ ફરિયાદ કરે.માતાજી આશ્વાસન આપે.પાછળ વાળા ધીરે ધીરે આગળ જાય નંબર આવે તેમ. હું તો પાછળ થી આગળ જ ના આવું.આરામ થી બેઠો બેઠો જોયા કરું ને લોકોની મુર્ખામી પર મનોમન હસ્યાં કરું.માતાજીના ધ્યાન માં આવ્યું કે આ છોકરો આગળ વધતો નથી.મને પુછ્યુકે બચ્ચા તેરે કો કોઈ તકલીફ નહિ હૈ?મેં વિવેક થી કહ્યું ના મુજે કોઈ તકલીફ નહિ હૈ,મુજે કુછ નહિ ચાહિયે.ઘણા બધાએ મને કોસ્યો કે આવો ચાન્સ જવા દેવાય?હું તો ઉભો થઇ ભાગવા જતો હતો પણ માતાજીના ઇશારાથી બેસી રહ્યો.બધા ગયા પછી માતાજી એ કહ્યું ઇતને સારે લોગો મેં એક તું હી સમજદાર હૈ.ઘર ના કોઈ વડીલ દાદી ને પગે ના લાગીએ?એક રીસ્પેક્ટ,હું પણ પગે લાગી બહાર આવી ગયો.
*મંદિર માં શિલ્પકાર ની કળા કે સ્થાપત્ય જોવા હું જાઉં છું.જૈનો ના દેરાસર ખાસ તો આબુ ના,એની કોતરણી જોવાની મજા આવે.શિવ ના લીગ ને નહિ પણ પ્રાચીન હિંદુ ઓ ની સમજદારી ને વંદન કરું છું.કે આ તો નોર્મલ સેક્સ નું બહુમાન છે.સર્જન નું પ્રતિક છે.ઘણા ને એપણ ખબર નથી કે શિવ નું લિંગ એ મેલ જેનેટલ,પુરુષ નું પ્રજનન અંગ છે.અને જલાધારી એ પાર્વતીની યોની,ફીમેલ જેનેટલ છે.મહાદેવ ની કોઈ મૂર્તિ હતીજ નહિ.પાછળ થી આવી.પુરુષ નું લિંગ સ્ત્રીની યોનીમાં આ આખાય પ્રતિક ની તો પૂજા રોજ કરીએ છીએ.ને સેક્સ ને ગાળો દઈએ છીએ.બ્રહ્મચર્ય નો અર્થ બ્રહ્મ માં ચર્યા,સેક્સ ના કરવો એવો અર્થ કોઈ નપુંસક ગુરુજીએ ઘુસાડ્યો લાગે છે.શિવ સંહાર ના દેવ ને પ્રતિક સર્જન નું.સર્જન વિસર્જન સંસાર નો નિયમ છે.પછી આ શિવજી આગળ હું એવી આશા ના રાખું કે મહમદ ગજનીને ત્રીજું નેત્ર ખોલી ભસ્મ કરીદે.
*હમણા એક ભાઈ એ ફોન પર વાત કરી કે આપણાં એક બાહોશ નેતા રોજ યોગ કરે છે,બે કલાક મૌન પાળે છે.પછી એ ભાઈ એજ કહ્યું કે સમજણ પૂર્વકનું બોલવું એનેજ મૌન કહેવાય.આ નેતા બે કલાક મૌન પાળે ને પછી બોલે ત્યારે એકદમ કડવી વાણી.એમની બે કલાક મૌન પાળીને ભેગી કરેલી એનર્જી કડવી વાણી રૂપે બહાર આવે એને શું કહેવું?એમનો તકિયા કલમ છે પાંચ કરોડ ગુજરાતની જનતા.સમજણ પૂર્વક ની નાસ્તિકતા દિવ્ય હોય છે.ધનસુખભાઈ સારી વાત છે કે અંધશ્રદ્ધા ને અંધવિશ્વાસ થી દુર છે.ખોટી ધાર્મિક માન્યતાઓ માં માનતા નથી.અવૈજ્ઞાનિક વાતોમાં માનતા નથી ખુબજ સારી વાત છે.અને આ બધું ના માનવાથી કોઈ દુખી જરાય થવાના નથીજ.જે દુખી થઈએ તે આપણી ભૂલોને લીધેજ થઈએ.બીજા નો દોષ જોવો એના કરતા આપણો દોષ જોવો સારો.અને જગત નિયમ થી ચાલે છે.નિયમ નો ભંગ કરે એને સજા થાય જ છે.કોઈ ના બચાવે.કોઈ ગુરુ,મહાત્મા કે ભગવાન ના બચાવે.ભીડ માં જઈએ ને દોડ દોડી થાય ને લોકો ઉપર પડે તો મરી જવાય એ સામાન્ય નિયમ છે.એમાં અંદર બેઠેલો ભગવાન પણ ના બચાવી શકે.એવું હોત તો આઠ લોકો મરી ના ગયા હોત,ધોરાજીમાં.
*૩૩ કરોડ દેવો છે ને ભારતની વસ્તી છે એક અબજ.દર ત્રણ માણસે એક દેવ છે.છતાય ભારત દુખી છે.બધા ચમત્કાર ની રાહ જુવે છે.કોઈ કૃષ્ણ કહી ગયા છે આવતા કેમ નથી?કોઈ અવતાર ની રાહ જોવાઈ રહી છે.પછી બધું સારું થઇ જશે.એ ગીતા ના કૃષ્ણ કોઈ ઉપર થી નહોતા ટપક્યા.સર્વાઇવલ ના યુદ્ધ માં ટકવાની મથામણ માં થી આપણાં જેવા કોઈ સામાન્ય નર માંથી રૂપાંતરિત થયેલા હતા.જન્મથી તરતજ મોત પાછળ ઉભું હતું.ડગલે ને પગલે મોત એમનો પીછો કરતુ હતું.લડ્યા ટક્યા તો કૃષ્ણ બન્યા,નહીતો ક્યાય ખોવાઈ ગયા હોત.અને કહી પણ એવુજ ગયા છે કે જયારે જયારે આવી ક્રીટીકલ પરિસ્થિતિ આવશે ત્યારે તમારા માં થી કોઈમાં મારું અવતરણ થશે.મતલબ મારા જેવો કોઈ બનશે,પેદા થશે.બાવાઓને સમજાવતા જ ક્યાં આવડે છે?અને લોકો સમજી જાય તો ધંધાનું શું?
*એક બીજો કિસ્સો લખું?એક સંત મહારાષ્ટ્ર ના હતા.નામ ભૂલી ગયો છું.કદાચ નામદેવ હોય કે તુકારામ.કોઈ ગુરુએ એના શિષ્ય ને બ્રહ્મજ્ઞાન ના વધારે પાઠ ભણાવવા માટે આ સંત જોડે મોકલ્યો.જુવાન શિષ્ય આમને મળવા આવ્યો ત્યારે આ સંત તો મંદિર માં મહાદેવના લિંગ ઉપર પગ ટેકવીને આરામ થી સુતા હતા.પેલા ને થયું આ માણસ મને શું શીખ આપશે?આતો ભગવાન નું અપમાન કહેવાય.ભગવાન પર પગ મુકાય?એણે સંત ને કહ્યું આવું ના ચાલે તમે ભગવાન ઉપર પગ મૂકી સુતા છો?પેલા સંતે કહ્યું તો તારી જાતે જ્યાં ભગવાન ના હોય ત્યાં મારા પગ મૂકી દે.વાર્તા એવી છે કે પેલા શિષ્યે જ્યાં પગ ઉચકીને મુક્યા ત્યાં શિવલિંગ પ્રગટ થયું.હું પોતે ચમત્કાર માં માનતો નથી.શિવ લિંગ પ્રગટ થયાની વાર્તા ખોટીજ છે.પણ એનું હાર્દ સરસ છે.કે કઈ જગ્યાએ ભગવાન નથી?બધેજ છે તો પગ ક્યાં મુકું?હવે આ બંને ઘેર ગયા.સંત રોટલા બનાવવા માંડ્યા ખાવા માટે.અને એક કુતરું આવ્યું રોટલો લઇ ભાગ્યું.સંત પાછળ ઘીની કટોરી લઇ કુતરાની પાછળ ભાગ્યાં,અરે મારા રામ ઉભા રહો કોરો રોટલો તમારા પેટ માં ખુંચસે.જરા ઘી લગાવી દઉં,પેટમાં દુખશે.પેલા શિષ્ય ને અચાનક ભાન થયું.જેને કુતરામાં ભગવાન દેખાય છે એજ મંદિર માં શિવ ના લિંગ પર પગ મૂકી શકે.બાકી નહિ.
*આ ધનસુખભાઈ ની નિંદા કરવાનો મારો આશય જરાપણ નથી.એમના પ્રથમ પત્ની જો છુટા ના પડ્યા હોત તો?કદાચ એ બીજા કોઈ કરતા વધારે ધાર્મિક હોત એવું મને સમજાય છે.કદાચ હું ખોટો પણ હોઈ શકું.ધનસુખ ભાઈ બીજા અંધ શ્રદ્ધાળુઓ કરતા ઘણા આગળ છે.એ વાત સો ટકા સાચી છે.પણ મન એવું છે કે એક અતિ પરથી બીજી અતિ તરફ લોલક ની જેમ ઘૂમ્યા કરતુ હોય છે.મધ્યમાં કદી રહેતું નથી.કાતો ભોગ માં પડી જશે ને ઉબાઈ જાય એટલે ત્યાગ માં સરી પડશે.કાં તો ખુબ આસ્તિક બની જશે ને ધાર્યું ના થાય તો અતિશય નાસ્તિક બની જશે.માનસિકતામાં કોઈ ફેર નહિ પડે.કાતો અતિશય પ્રેમ કરશે ,કાતો ઘૃણા કરશે.કાંતો અતિશય કામી હશે,કામ થી કંટાળી જશે કે પસ્તાવો થશે તો બ્રહ્મચર્ય ના વ્રત લેશે.દા:ત ગાંધીજી બચપણ માં નાના હતા ને લગ્ન થઇ ગયા.એમણે જ કબુલેલું છે કે કામી હતા.એમના પિતા મરણ પથારી પર હતા.રોજ રાતે ગાંધીજી એમના પગ દબાવતા.એમનું મન તો એ રાતે કસ્તુરબા માં જ ભમતું હતું.ચાન્સ મળ્યો,પિતાજી જરા જંપી ગયા કે ભાગ્યાં કસ્તુરબા જોડે,કામક્રીડા માં મગ્ન હતા ને આ બાજુ પિતાજીએ દેહ છોડ્યો.એક જરા કાબુ રાખ્યો હોત તો પિતાજીની છેલ્લી ઘડીએ એમની હાજરી હોત.પછી ખુબ પસ્તાયાં.એ પસ્તાવો આખી જીંદગી રહ્યો,ને કામ ને જીતવા હમેશા બ્રહ્મચર્ય ના વ્રત લીધે રાખ્યા.ચાલીસ વર્ષ પછી તો એમણે સંપૂર્ણ બ્રહ્મચર્ય ની વ્રત લઇ લીધું.પસ્તાવો તો એટલો બધોકે બીજા લોકોને પણ પરાણે બ્રહ્મચર્યનું વ્રત લેવડાવે.નાના છોકરાઓને પણ આ વ્રત લેવા સમજાવે.એક અતિ પરથી બીજી પર.પણ ક્યારેય કામ ને જીતી ના શક્યા.૭૦ વર્ષે પણ રાતે સ્વપ્ન દોષ થાય છે,દિવસે કામ ને જીત્યો છે પણ રાતે નહિ,એવું કબુલતા એ સાચા બોલા પ્રમાણિક હતા. છેલ્લે તો બે જુવાન નગ્ન છોકરીઓ જોડે સુવાનો પણ પ્રયોગ કરેલો.બધા કોંગ્રેસી નેતાઓ ને લાગેલું કે ડોસા ની બુદ્ધી બગડી છે.ખાલી આચાર્ય કૃપલાણીએ કહેલું કે ના મને ડોસા પર વિશ્વાસ છે એ કદી ખોટું ના કરે.એટલે ભગવાન બુદ્ધ મધ્યમાં રહેવાનું કહેતા હતા.મધ્યમ માર્ગ.કોઈ પણ અતીના છેડા પર રહો તે ખોટું છે.
* મારો કોઈ ઈરાદો કોઈ ધનસુખભાઈ ની લાગણી દુભાવવાનો નથી.કારણ હું પોતેજ સાધુબાવાઓની ફાલતુ વાતો માં માનતો નથી.પ્રજાએ હવે જાગવું જોઈએ.ફક્ત કોઈ પૂર્વગ્રહ થી પીડાયા વગર સમજણ પૂર્વક નાસ્તિક બનીએ અને ધર્મ માં કોઈ વિજ્ઞાન હોય તો તેને આવકારીએ તો અસ્થાને નહિ ગણાય.અને પેલા સંત પત્ની ની જેમ ધૂળ ઉપર વળી શું ધૂળ ઢાંકવાની?
*ચીન ના મહાન ગુરુ લાઓત્સે એવું કહી ગયા હતા કે આ જગત સ્ત્રૈણ રહસ્ય છે.એટલે ભગવાન ની કલ્પના કરીએ તો પુરુષ ભગવાન કરતા સ્ત્રી ભગવાન હોય એ વધારે વ્યાજબી છે.એટલે આપણે ભગવાન કે ઈશ્વર તરીકે માં અંબા કે દુર્ગા કે ઉમિયા ને પૂજીએ તે વધારે યોગ્ય છે,શિવ,વિષ્ણુ કે રામ કરતા.એટલે સ્ત્રી નું સન્માન કરવું જોઈએ.પણ અહીતો શ્રી કૃષ્ણ સિવાય કોઈએ સ્ત્રીનું સન્માન કર્યું જ નથી.શ્રી રામે સીતાજી ને પ્રેમ કર્યો હશે પણ સન્માન તો જરાય નથી કર્યું.શ્રી કૃષ્ણે કુબડી એવી ત્રિવક્રા ને પણ પ્રેમ કરેલો.૧૬૦૦૦ રાણીઓ શું હતી?એ બધી જરાસંધે કેદ કરેલા રાજાઓની પત્નીઓ હતી.જરાસંધ મરાયા પછી છુટેલા એજ રાજાઓ એમની પત્નીઓ ને સ્વીકારવા તૈયાર ન હતા,કેમ કે એ બધી જરાસંધ ની કેદી હતી.એટલે શુદ્ધ રહી શકી હોય એ શંકાસ્પદ હતું. શ્રી કૃષ્ણે પોતે સ્વીકારીને રાણીઓ નો દરજ્જો આપી ને સ્ત્રીઓનું સન્માન કર્યું હતું. ભલે શ્રી ગુણવંત શાહ રામાયણ ને પ્રેમ નું મહાકાવ્ય કહે,પ્રેમ નું મહાકાવ્ય પાછળ થી શોક અને વિષાદ અને પસ્તાવાનું મહાકાવ્ય બન્યું છે.સ્ત્રીઓ ને ફક્ત વસ્તુ જ સમજવામાં આવે છે.એક બાજુ આપણે સ્ત્રીને માં અંબા કહીએ તો છીએ પણ વહેવાર માં વસ્તુ કરતા વધારે દરજ્જો આપતા જ નથી.
*પોલીસ વડા રાઠોડ એક નાની છોકરી ની છેડતી કરે છે.એમના ઉપર ફરિયાદ કરવાની હિંમત કરવામાં આવે છે.પછી ની સ્ટોરી બધા મીડિયા દ્વારા જાણે છે.રુચિકા ૧૯ વરસ પહેલા આત્મ હત્યા કરે છે.અને હવે આજે મીડિયા વાળા બાહોશી બતાવે છે કે આમારા લીધે રુચિકા ને ન્યાય મળશે..કોઈ નાના માણસ ને પણ સજા તો ગુનાસર થવી જ જોઈએ.પણ મોટા માણસો ને ખાસ સજા થવી જોઈએ જેથી બીજા લોકો એમની મોટાઈ નો દુર ઉપયોગ ના કરે.પણ આપણે ત્યાં ઉલટું છે.નાના લોકો ને કોઈ છોડે નહિ અને મોટા લોકો ને કશું થાય નહિ.આ આપણા લોહીમાં વણાઈ ગયેલું સત્ય છે.પુરાણ કાલ થી ચાલ્યું આવ્યું છે.
*ભીષ્મ પિતામહ આવી રીતે પોતાના માટે નહિ પણ એમના ભાઈઓ વિચિત્ર વીર્ય અને ચિત્રાંગદ માટે કાશી ના રાજા ને હરાવી તેમની ત્રણ છોકરીઓ અંબા,અંબિકા,અને અંબાલિકા ને ઉઠાવી લાવેલા.હવે અંબા ને રાજા સાલ્વ સાથે પ્રેમ હતો.ભીષ્મ ને એણે સાચી વાત કહી દીધી,ભીષ્મે એને છોડી દીધી.પણ પર પુરુષ સાથે રહેલી એટલે સાલ્વે ના પડી દીધી લગ્ન માટે.ફરી પાછી એજ વાર્તા દોહારવામાં આવી.રામ સીતાની,પરપુરુષ સાથે રહેવાની,ભારતીય માનસિકતા ક્યાંથી સહન કરે?અંબા પાછી આવી ભીષ્મ પાસે.હવે આખી દુનિયાને ખબર હતી કે ભીષ્મ પ્રતિજ્ઞા થી બંધાએલા બ્રહ્મચારી છે,છતાં સાલ્વે ના પડી દીધી.ભીષ્મે ના પાડી કે હું તો લગ્ન ના કરી શકું.એ ગઈ પરશુરામ પાસે,ભીષ્મ ને આર્ચરી શીખવનાર એ હતા.બંને વચ્હે લડાઈ થઇ પણ કોઈ પરિણામ ના આવ્યું. એ છોકરીનો આત્મા ઘવાયો .એણે પણ રુચિકા ની જેમ અગ્નિ માં પડી આત્મહત્યા કરેલી,ને સમગ્ર કૌરવ ખાનદાન નો નાશ થાય એવો શ્રાપ આપેલો.પણ આલોકોને આપણે પૂજીએ છીએ.
*શ્રી રામે લશ્કરી મદદ મળે તે માટે તાડ ના ઝાડ પાછળ છુપાઈને વાલી ને મારી એની પત્ની સુગ્રીવ ને સોપી દીધી.પેલી બિચારી જાય ક્યાં?છોકરો અંગદ નાનો હતો ને બળવાન કાકા સામે શું બોલે? એ જમાના માં શું આજે હમણા સુધી રીવાજ હતો કે મોટો ભાઈ હોય તે રાજગાદી નો રાજા બને ને નાનો ભાઈ બાજુ પર ખસી જાય.એ ન્યાયે વાલી મોટો ભાઈ હતો તો રાજગાદી પર બેઠો.વાલી ખુબ બળવાન હતો,રાવણ ને પણ એકવાર અંગદ ના ઘોડિયે બધી દીધેલો એવી વાર્તા છે.સુગ્રીવ ને મોટા ભાઈ ની ગાદી જોઈતી હતી,રામ ને લશ્કરી સહાય જોઈતી હતી.વાલી નો શું વાંક હતો હજુ સમજાતું નથી.વાલી ની પત્ની મેળવ્યા પછી સુગ્રીવ તો રંગરાગ માં ડૂબી ગયો ને રામ ને આપેલું મદદ નું વચન ભૂલી ગયો ત્યારે લક્ષ્મણ ગુસ્સે થાય છે,એવી વાર્તા પણ છે.અંગદની નારાજગી વર્ણવતા શ્લોકો વાલ્મીકી રામાયણ માં છે.આપણા કથાકારો એમની કથામાં આવું બધું નહિ કહે.હવે ઘણા તો કહે છે કે રામે વાલીને માર્યો જ નથી.વાલ્મીકી ને તુલસી ખોટા, એજ સાચા.
*હવે તમે કહોકે આજ સુધી કેટલી રુચીકાઓ મોટા લોકોને હાથે રોળાઈ હશે?મારું કહેવું છે કે છેક રામાયણ થી આજ સુધી,સુગ્રીવ અને ભીષ્મ હાથે,અને આજના રાઠોડના હાથે આજ સુધી માં હજ્જારો રુચીકાઓ રોળાઈ ચુકી છે.પ્રજા ના મનોવિજ્ઞાન માં આ બધું ખરાબ છે એવું ઘુસેલું જ નથી.રોજ રામાયણ અને મહાભારત ના આવા પાત્રોની ભક્તિ રોજ થતી હોય તો કોણ રુચિકા ને ધ્યાન માં લે?આ ખોટું થયું છે એવું લોકોને લાગે તો ને?આજ વકીલો,પોલીસવાળા,ન્યાયાધીશો અને ખુદ મીડિયા વાળા પણ આજ કથાઓ રોજ સાભળે છે.એ કોઈ પરગ્રહ માં તો રહેતા નથી.આ લોકો ભારત ની પવિત્ર ભૂમિ માજ રહે છે ને.એટલે આ લોકો ના મનોવિજ્ઞાન જુદા થોડા હોય?એટલે જ તો ૧૯ વર્ષ વીતી ગયાને મીડિયા ને પણ ૧૯ વરસ સુધી યાદ ના આવ્યું અને એકદમ કેમ પ્રેમ ઉભરાઈ ગયો ?મીડિયા ૧૯ વરસ સુધી શું કરતુ હતું ?જો મીડિયા એ શરૂથી રુચિકા ને સાથ આપ્યો હોત તો એને બિચારીને આપઘાત ના કરવો પડ્યો હોત.જે મીડિયા અત્યારે ન્યાય અપાવ્યા ના બણગા ફૂંકે છે એજ મીડિયા ૧૯ વરસ પહેલા એને સાથ આપી બચાવી શક્યું હોત.પણ એ સમયે રાઠોડ ઊંચા હોદ્દા પર હતા.આખા રાજ્યના પોલીસ વડા બન્યા હતા.રાષ્ટ્રપતિચંદ્રક પણ મળેલો.જેના માથે કેસ ચાલતો હોય એને રાષ્ટ્રપતિચંદ્રક?હવે રાઠોડ બળવાન નથી રહ્યા,એટલે મીડિયા ચડી બેઠું.એ સમયે મીડિયા પણ બીતું હશે રાઠોડ સામે બોલતા.મીડિયા પણ બળવાન લોકોને જ સાથ અપાતું હોય છે ને.રુચિકા ના મોત માટે જવાબદાર જે હોય તેને સજા થવી જ જોઈએ.પણ એની આત્મહત્યા નું પાપ મીડિયા ને પણ લાગશે જ.ભલે અત્યારે ન્યાય અપાવ્યાનું પુણ્ય કમાતું.