“કટૅસ્ટ્રફિ, તાંડવનૃત્ય, સર્જન વિસર્જન, શિવજી” Catastrophe.

હૈતીમાં ભૂકંપ  આવ્યો. આશરે ૨૦૦,૦૦૦ માણસો મરી ગયાની વકી છે. ૫૦,૦૦૦ મૃતદેહો મળ્યા. ૨,૫૦,૦૦૦ ઘવાયા છે. ૧૫,૦૦,૦૦૦ ઘર વગરના થઇ ગયા છે. અમેરિકાના ૨૦,૦૦૦ સૈનિકો મદદમાં દોડી ગયા છે.
બ્રિટન,ફ્રાંસ,જાપાન,ચીન,ભારત સાથે અમેરિકાએ બચાવ કામગીરીની આગેવાની લીધી છે.  અમેરિકાની આ આખીય બચાવ કામગીરીની આગેવાની  ઓબામાંની જાહેરાત મુજબ ભારતીય મૂળના રાજીવ શાહ સંભાળશે.
કટૅસ્ટ્રફિ માટે ગુજરાતીમાં મને કોઈ શબ્દ સુજ્યો નહિ. એકલો ડીઝાસ્ટર એવો અર્થ પણ ના નીકળે. એટલે મેં ઉપરનું ટાયટલ બનાવ્યું. સાડા ચાર બીલીઓન વર્ષ પહેલા પૃથ્વી સુર્યમાંથી ધગ ધગતા ઉકળતા લાવા રૂપે છૂટી પડી એને પહેલું કટૅસ્ટ્રફિ કહેવાય. ઉપરનું પડ ઠંડુ થાય એ પહેલા થીયા નામનો પૃથ્વીની બહેન જેવો ગ્રહ જોરથી ભટકાયો. અને બંને એક થઇ ગયા એના લીધે પૃથ્વીના લાવામાં વધારો થઇ ગયો.    આ અથડામણને લીધે પૃથ્વી ચોક્કસ ભ્રમણ કક્ષામાં ગોઠવાઈ. સાથે સાથે ચંદ્રમાંની રચના થઇ. પૃથ્વીનો ઉકલતો લાવા વધારે ઘટ્ટ થવાથી, અને અંદર મોટાભાગે લોખંડ હોવાથી મેગ્નેટિક ફોર્સ રચાયો. ચન્દ્રની ઘનતા ઓછી હોવાથી એનો મેગ્નેટિક ફોર્સ ઓછો હોવાથી પૃથ્વીની આજુબાજુ ફરવાનું ચાલુ થયું. આ બધી કટૅસ્ટ્રફિ જ કહેવાય અને ભવિષ્યમાં પૃથ્વી પર પેદા થનારા જીવન માટે અબજો વર્ષ પહેલા ગોઠવાયેલી વ્યવસ્થા હતી. જો ચંદ્રની ઘનતા વધારે હોત તો એનો મેગ્નેટિક ફોર્સ વધારે હોય અને પૃથ્વીની આજુબાજુ ના ફરે તો પૃથ્વી પર જીવન અસંભવ. આમાંનું એકપણ પરિબળ દુર હોય તો જીવન અસંભવ.
               *જન્મના ૧૦ મીલીઓન વર્ષ પછી પડ ઠંડુ થવા માડ્યું, અને ઉપર એક લેયર રચાયું. વળી પાછું મોટું ડીઝાસ્ટર આવ્યું. અંદરથી લાખો જ્વાળામુખી ફાટ્યા. જાતજાતના ગેસ સાથે વરાળ ઉપર ફેકાઇ, હવે ગ્રહ ઠંડો થયો ને વાદળો રચાયાને હજારો નહિ બલકે કરોડો  વર્ષ લગી વરસાદ પડ્યો. અડધા સમુદ્રો જ ભરાયા, બાકીનું પાણી સ્પેસમાથી આવ્યું, બરફના ગોળા જેવા ધૂમકેતુ ઓ વાંરવાર અથડાઈને પૃથ્વી ઉપરના અધૂરા સમુદ્રોને ભરી ગયા. એમાં ગુરુ ગ્રહના પ્રબળ ગુરુત્વાકર્ષણનો મોટો  હાથ હતો. પૃથ્વી  કાર્બન ડાયોકસાઈડથી ભરેલી હતી. ઓક્સીજન હજુ હાઈડ્રોજન  અને  પાણીમાં છુપાએલો  હતો. જ્વાળામુખીઓની ગરમી, સતત થતી  વીજળીઓ, અલ્ટ્રા વાયોલેટ રેડીએશન આ બધા  પરિબળો વડે કેમિકલ રીએક્શન થવાથી ઓર્ગેનિક રગડો રચાયોને એમાં પહેલો સેલ રચાયો. લુકા સેલ બધા સેલોનો પૂર્વજ બન્યો. ડી.એન.એ અને આર.એન.એ રચાયા. એક કોશી જીવો બન્યા. હવામાનો અને પાણીમાનો  કાર્બન ડાયોકસાઈડ મેળવી સૂર્યની ગરમી વડે પોષણ મેળવી હવામાં ઓક્સીજન છોડવાનું શરુ કરનાર પહેલો સેલ સ્ટ્રોમાંટોલાઈટ્સ બન્યો. એના ફોસિલ મળે છે. હજુ આજે પણ સ્પેસમાંથી દેખી શકાતા સમુદ્રી લીલ વનસ્પતિ ફોટો સિન્થેસિસ વડે પૃથ્વી પર ૯૦%ઓક્સીજન પૂરો પાડી રહ્યા છે. ઓક્સીજન વડે ઓઝોનનું પડ રચવાનું શરુ થયું. પૃથ્વી પર વાતાવરણ રચવાનું તો શરુ થઇ  જ ચુક્યું હતું. એમાં ઓક્સીજન ભળતાને ઓઝોનનું પડ રચાતા અલ્ટ્રાવાયોલેટ રેડીએશનથી બચાવ શરુ થયો.
          જુઓ શિવજી, કટૅસ્ટ્રફિ કેવું કામ કરે છે. હવામાં અતિશય ઓક્સીજન વધી ગયો એ પેલા સેલ માટે ઝેરી બન્યો. મોટા ભાગનું જીવન ઝેરી ઓક્સીજનના લીધે નાશ પામ્યું પણ જે બચ્યા એ સેલ હવે ઓક્સીજન પચાવી એમાંથી જીવન મેળવવા કાબેલ બન્યા અને આ ઓક્સીજન કટૅસ્ટ્રફિ ડીઝાસ્ટરે બે ફાયદા કર્યા  શ્વાશોચ્છવાસની સીસ્ટમ વિકસાવી. એક એવા બેક્ટેરિયા રચાયા જે આથો લાવે ને પોષણ મેળવે. આઈસ એજ આવ્યો પૃથ્વી ઠરી ગઈ ને ઓક્સીજન ઘટ્ટ બન્યો. ઘટ્ટ ઓક્સીજન મીથેન જોડે ભળી ને મીથેન કરતા ઓછો નુકશાન કારક ગ્રીન હાઉસ ગેસ સીઓટુ વધ્યો. જટિલ પ્રક્રિયાઓમાંથી પસાર થઇ માઈટોકોનડ્રીયલ જીન્સ બન્યો. પૃથ્વી  ઘણી વાર બરફનો ગોળો બની ગઈ પણ દરેક વખતે જ્વાલામુખીઓ કામ લાગ્યાને પૃથ્વીને બચાવી.
                  *આશરે ૧૦૦૦ થી ૮૩૦ મીલીઓન વર્ષ પહેલા આખી પૃથ્વી એક જ રોડેનિઆ  ખંડ હતી. કેટલીય વાર પૃથ્વીના ઉપરના પડ તુટતા ખંડો છુટા પડતા ને જોઈન થતા. છેલ્લે ૨૫૦ મીલોન વર્ષ પહેલા પેન્જીયા નામનો એક ખંડ હતો. ચંદ્રના ગુરુત્વઅકર્ષણ ને લીધે સમુદ્રોમાં ગરમ પ્રવાહો શરુ થએલા. અને નીચે ઠંડા પ્રવાહો આમ એક કન્વેયર બેલ્ટ પ્રવાહોનો રચાયો. ૫૪૨ થી ૪૮૮ મીલીઓન વર્ષના ગાળામાં માછલીનો જન્મ થયો. અને એમાંથી વિકાસ થતા. ૭ મીટર થી મોટા હ્યુજ પ્રાણીઓ પેદા થયા. ઉલ્કાપાત, નેચરલ ડીઝાસ્ટર, ક્લાઈમેટ ચેન્જ અને જ્વાળામુખીઓના પ્રતાપે દરેક વખતે જીવન નાશ પામતું ને એમાંથી બચીને જુદા જુદા જીવનના ગ્રુપ ઉભા થયા. ૨૧૦ મોલીઓન વર્ષ પહેલા નાના નાના મેમલ્સ  સ્તનધારી પ્રાણીઓ પેદા થયા. સદાય ઠરેલા બરફ આચ્છાદિત ધ્રુવ પ્રદેશમાં ઉપરના ગરમ પ્રવાહ આવે એટલે ઠંડા થઇ નીચેના પ્રવાહ બની કન્વેયર બેલ્ટનું કામ કરતા સમુદ્રના જીવનનું મહત્વનું પરિબળ હતા. પણ એમાં એકવાર ગરબડ થઇ ને ૯૦ ટકા સમુદ્રી  જીવન નાશ પામ્યું. આ ડાયનોસોર પહેલાનું મોટું ડીઝાસ્ટાર હતું. કોઈ મોટી ઉલ્કા લાખો ટન અણુબોમ્બની તાકાત લઇ ને પડીને ડાયનો સોર નાશ પામ્યા પણ પૃથ્વીની  ઊંડે ઊંડે રહેતા નાના નાના સ્તનધારી બચી ગયા.  એમનો વિકાસ થયો નહીતો પેલા ડાયનોસોર જીવવા ના દે.
                 *બાલ્ટિક, સાયાબેરીયા અને ગોન્ડવાના નામના ખંડો રચાયા ને પાછા એકબીજા સાથે અથડાઈ ને ભેગા થયા. છેલ્લે એક જ પેન્જીયા ખંડમાંથી છુટા પડી આજના ખંડો રચાયા. જુદી જુદી જાતની જીવ સૃષ્ટી રચાઈ ચુકી હતી. ૮ થી ૧૦ મીલીઓન પહેલા એપ્સનો જમાનો હતો. ૬ મીલીઓન વર્ષ પહેલા એક પ્રાણી એવું બન્યું જેમાં એપ્સ અને માનવનું સમમિશ્રણ હતું એ બોનોબો અને ચીમ્પ ના પૂર્વજના ગુણો પણ ધરાવતું હતું. માણસ અને એપ્સની વચ્ચેની કડી રૂપ લુસી નામનું એક ફોસિલ રૂપે સચવાએલું આખું હાડપિંજર મળેલું છે. ૨૫ લાખ વર્ષ પહેલા આજના માનવીના પૂર્વજનો જન્મ થયો ઝાડ પર.  પાંચ લાખ વર્ષ ઝાડ પરજ વિતાવ્યા. ૨૦ લાખ  વર્ષ થયા ઝાડ પરથી નીચે ઉતરે. બે પગે ચાલવાથી બ્રેનનો ઝડપથી વિકાસ થયો. એમાંથી આશરે ૭,૯૦,૦૦૦ વર્ષ પહેલા હોમોઈરેક્ટસ માનવી પેદા થયો. માનવીની જુદી જુદી જતો એક સાથે પૃથ્વી પર જીવતી હતી. પણ ધીરે ધીરે નાશ પામી.  હોમો સેપિયન જાતે પૃથ્વી કબજે કરી. એમની સાથેજ જીવતા નીયેન્ડરથલ ને સર્વાઇવલના યુદ્ધમાં પછાડી હોમોસેપિયન એકલાજ બચ્યા. આશરે ૨૦૦,૦૦૦ વર્ષ પહેલા હોમોસેપિયન પેદા થયાનું મનાય છે. એમનું ૧,૬૦,૦૦૦ વર્ષ પહેલાનું ફોસિલ મળેલું છે. આપણે હોમોસેપિયન કહેવાઈએ.
                 *૮૫૦૦૦ થી ૭૦૦૦ બી.સી.ના ગાળામાં ખેતી શરુ થઇ. ત્યાં સુધી આપણે માંસ ઉપર ને ફળફળાદી ઉપર જીવતા હતા. લાખો વર્ષો થી માંસ ખાતો આવેલો માનવી એકદમ શાકાહારી કઈ રીતે થઇ જાય? ૪૦૦૦ થી ૩૦૦૦ બી.સી.દરમ્યાન મિડલ ઇસ્ટ, ચાઈના, ઈજીપ્ત, અને સીધું નદી ઉપર સંસ્કૃતિઓ વિકસી. ૩૦૦૦ બીસીમાં હિંદુ ધર્મનો કોન્સેપ્ટ આવ્યો એટલે હિંદુ ધર્મ દુનિયાનો સૌથી જુનો ધર્મ બન્યો.
           * પણ એનાથી હરખાવાની જરૂર નથી. કારણ એ જુનો હિદુ ધર્મ આજે ખાસ બચ્યો નથી.  દરેક કટૅસ્ટ્રફિ એ મોટું ડીઝાસ્ટર હતી. એનાથી મોટા ભાગનું જીવન નાશ પામ્યું છે ને એમાંથી બચીને નવું જીવન વધારે વિકસિત પેદા થયું છે. કેટલાય  વાર પૃથ્વી બરફનો ગોળો બની ગઈ છે ને જ્વાલામુખીઓ એ એને બચાવી છે. જે કાર્બન ડાયોકસાઈડ ને ઝેરી ગણીએ છીએ એણેજ પૃથ્વીને વાતાવરણ આપ્યું છે. અને પહેલા જીવનનો ખોરાક પણ બનેલો છે. કેટલીય વાર ગ્લોબલ વોર્મિંગ થયું છે ને હિમયુગ આવ્યા છે. જે ઓક્સીજનના લીધે પૃથ્વી પરનું જીવન  નાશ પામેલું, એનોજ ઉપયોગ કરીને જીવન આગળ ધપ્યું છે. તમે ગ્લોબલ વોર્મિંગ વધારશો તો પૃથ્વીને કોઈ નુકશાન નથી. ગ્લોબલ વોર્મિંગથી પૃથ્વીને ભયંકર નુકશાન પહોચાડસો એ વાત જ ખોટી છે. જે નુકશાન થશે એ તમને થશે. પૃથ્વી પોતે ગ્રેટ સર્વાઈવર છે. તમે જીવો કે મરો એની ચિંતા પૃથ્વી કરવાની નથી. તમે નાશ પામશો તો કોઈ નવું જીવન તમારાથી વધારે સુપર, જગ્યા લેશે. પૃથ્વીએ આજ સુધી એજ કર્યું છે.
         *મેડીટેરનિયન સમુદ્ર કેટલીય વાર આખો ને આખો સુકાઈ ગયો છે. સીસલીમાં એના અવશેષ રૂપ મીઠાની જબરદસ્ત ખાણો છે. આફ્રિકાથી હાથી અહી પણ આવેલા છે. આ સમુદ્ર સુકાઈ જાય ને ખોરાકની તકલીફ પડે એટલે હાથીઓ એ એમની જાત સંકોચેલી છે. અને પછી હ્યુજ પણ બનાવેલી છે. અહી બકરીની સાઈજના પુખ્ત હાથીઓના ફોસિલ મળે છે.  ભારત પણ આફ્રિકા ખંડ સાથે જોડેલું હતું. ત્યાંથી છુટું પાડી ને એશિયાને અથડાયું છે. અને હજુ અથડામણ ચાલુજ છે. એમાંથી હિમાલયની ગ્રેટ પર્વતમાળા રચાઈ છે. પહેલા અહી ટીથીસ નામનો સમુદ્ર હતો. હમણા પાકિસ્તાનમાં ધરતીકંપ થયો ત્યારે ત્યાની પર્વતમાળાની ઉચાઈ માં ૧૬ ઇંચ નો વધારો નોધાયો છે. ભલે લાખો વર્ષ  થયા હિમાલયની રચનાએ પણ એ મોર્ડન ગ્રેટ કટૅસ્ટ્રફિ હતું. એટલે હિંદુઓ એ શિવને કૈલાસ પર બેસાડ્યા છે. નાના નાના કટૅસ્ટ્રફિ તો થયા જ કરે છે. ભારતીય પ્લેટની અથડામણ એશિયન  પ્લેટ સાથે ચાલુ છે માટે હિમાલય ની ઊંચાઈમાં પણ વધારો થયા કરે છે. જીવન સમુદ્રમાં શરુ થયું, લાલન પાલન પણ ત્યાજ થયું એટલે પાલનહાર વિષ્ણુને સમુદ્રમાં બેસાડ્યા છે. આ બધામાં સમય ભલે આપણ ને લાખો, કરોડો વર્ષનો લાગે પણ જીયોલોજીકલ સમય પ્રમાણે આંખનો એક પલકારો માત્ર છે. એટલે પ્રાચીન મનીષીઓએ કહ્યું કે બ્રહ્મા આંખનો એક પલકારો  મારે એટલે પૃથ્વી પર લાખો વર્ષ વીતી ગયા હોય. વિજ્ઞાન એ વાત આજે કરેજ છે.
      ભગવાન શિવ એ કોઈ વ્યક્તિ નથી. નથી એ હિમાલયમાં રહેતા. ભલે મોરારી બાપુ એમને ક્યાંક શિવ ભટકાય જાય એ આશામાં કૈલાશ ઉપર કથા કરવા જતા. પ્રાચીન હિંદુ ધર્મના ખેરખાંઓ આ કટૅસ્ટ્રફિ  જાણતા હતા. પણ એ વખતે અંગ્રેજી ભાષા ના હતી માટે એમણે ભગવાન શિવ, શંકર, સર્જન અને વિસર્જનના દેવ એવું નામ આપ્યું. ડીઝાસ્ટર રૂપી અનેક ઝેર એ પચાવી શકે છે. ને નવું બહેતર જીવન પેદા કરી શકે છે. તમે બનાવટી વાતો  જોડો એમાં શંકરનો શું વાંક? કે પ્રાચીન મનીષીઓનો શું વાંક? તો બોલો કટૅસ્ટ્રફિના દેવ કે ખુદ કટૅસ્ટ્રફિ  એવા ભગવાન શંકરની જય.

28 thoughts on ““કટૅસ્ટ્રફિ, તાંડવનૃત્ય, સર્જન વિસર્જન, શિવજી” Catastrophe.”

  1. ખતરનાક લખો છો બોસ તમે. પુસ્તક છપાવો તો માર્કેટમાં રાડો થઈ જાય. બક્ષીબાબુ પછી આટલું તેજાબી પહેલી વાર વાંચ્યું.

    મારા બ્લોગ પર પધારશો.

    Like

  2. ભાઇશ્રી વીકે સાથે મારી પૂરી સહમતી છે. મેં તો તમારા 30ડીસે. ના લેખ નીચે પ્રતિભાવ આપ્યો હતો તે અહિં કોપી&પેસ્ટ કરું છું. (બાપલ્યા મારો જ પ્રતિભાવ છે!)
    કાનની બૂટ ગરમ કરી નાખે તેવી તેજીલી કલમ ! સલામ દોસ્ત.

    Like

  3. બે પગે ચાલવાથી બ્રેન નો ઝડપથી વિકાસ થયો. આ પ્રાણી ૫૦૦૦૦ વર્ષથી બે પગેથી ચાલે છે. એને મોર્ડન મેન કે આધુનીક માનવ કહે છે.

    હવે હીસાબ લગાવો આ શંકર, રામ, કૃષ્ણ ક્યારે થયા હશે?

    પૃથ્વી ગોળ દડા જેવી છે અને સુર્યની આસપાસ ફરે છે એ સ્વીકારવામાં ભારતના લોકો સૌથી છેલ્લે સૌથી છેલ્લે કેમકે હજી ઘણાં એમ માને છે પૃથ્વી સ્થીર છે અને માણસ ચંદ્ર ઉપર ગયો જ નથી.

    કેટાસ્ટ્રોફી માટે ગુજરાતી શબ્દ આ સાધુ બાવાઓ સ્વીકારવા તૈયાર છે?

    Like

  4. ભૂપેન્દ્રસિંહ,

    સરસ માહિતીપ્રદ લેખ છે…તમારા બ્લોગને મુલાકાતે અવારનવાર આવવું ગમશે…તમારી વાત સાથે સહમત છું….હર હર મહાદેવ હર…

    Like

  5. તમે તો આપણી માતાનું આખું પિયર સમજાવી દીધું !! ખૂબ જ ઉપયોગી ને પ્રેરણાદાયી માહિતી આપી છે. ધર્માંધતા સામેનો તમારો રોષ આનાથી સમજી શકાય છે. શિવજીનું તમે કરેલું અર્થઘટન ને એમાંય તે ઝેરને પીવાની વાત એકદમ સચોટ છે. હું પોતે આસ્તિક હોવા છતાં મારી ઈશ્વર વિષયક માન્યતાઓ આ જ પ્રકારની છે.

    માહિતી અને અર્થઘટનો માટે ઝાઝેરી સલામ !!

    Like

    1. ખૂબ ખૂબ આભાર જુગલભાઈ.પ્રાચીન મનીષીઓએ બહુ સુંદર પ્રતિક રચેલા છે,પણ આપણ મુરખાઓ એને જીવંત સમજી એમની પાછળ પાગલપન કરી રહ્યા છીએ.

      Like

  6. પુરા લેખ સાથે સહમત છું. પણ, જે “સર્વાઈવલ” આપણને આ કક્ષા સુધી લઇ આવ્યું છે એ સાહજિક વૃત્તિને અનુસરીને આપણે આપણી જાત બચાવવા ઝઝૂમવું જ પડે અને જોઈએ.

    Like

  7. મુ. ભુપેન્દ્રસિંહ, આપના આ લેખને શત શત સલામ. હવે તો અહીં (કુરૂક્ષેત્ર) આવવાની આદત પાડી છે. આટલા જટીલ વિષયને આટલી સરળતાથી આપે રજુ કરેલ છે. મારા બાળકો કે જે ૧૧ અને ૪ ધોરણમાં અભ્યાસ કરે છે. તેમના માટે પણ પ્રીન્ટ કાઢી રાખેલ છે.

    અભિનંદન.

    Like

  8. શિવજી ત્રીજુ નેત્ર ખોલે ને પ્રુથ્વીનો વિનાશ થાય અને આપ લોકોના ત્રીજા નેત્રો ખોલીને લોકોના માનસિક
    અંધકારનો નાશ કરો છો .શંકરના પુત્ર ગણેશજીને બુધ્ધિના દેવ માનવામા આવે છે. આપની બુધ્ધિ એમનાથી જરાયે ઉતરતી નહિ બલ્કે મનેતો શત શત ઘણી ચઢિયાતી લાગે છે. આટલો જ્ઞાનનો ભંડાર ભગ્યેજ કોઇના લેખમાથી
    પ્રવાહિત થતો હશે. આપના જ્ઞાન માટે અભિનન્દનોની વ્રુષ્ટિ કરવાનુ મન થાયછે.

    Like

  9. ભુપેન્દ્ર્સિંહજી,બહુ જ સરસ લેખ….કરોડો -અબજો વર્ષના ઇતિહાસની ખૂબ જ રસાળ શૈલીમાં રજૂઆત માટે અભિનંદન. એક વાત કરું ?આટલું વાંચો છો,વિચારો છો,જાણો છો અને સુંદર લખો છો.તો ખંડન અને વ્યર્થ વિવાદમાં સમય અને શક્તિનો વ્યય શું કામ કરો છો ?આપ સમાજને ઘણું આપી શકો તેમ છો.જે બાબતો વિષે આપ આક્રમક વલણ અપનાવો છો,એ અંગેનો આપનો આક્રોશ સાચો હોઈ શકે,પણ રીત તો ખોટી જ છે.દરેક તાવ માટે પેરાસીટામોલ તો ન જ અપાય ને !સત્યમાં ગળપણ ભેળવવાની વાત નથી કરતો,પણ ટેબ્લેટ થી રોગ મટતો હોય તો ઇન્જેક્શન શા માટે દેવું ?સુજ્ઞ છો, થોડામાં સમજી જશો.પ્રલય અને સર્જનની જે વાત આપે કરી એ જ વાત હિંદુ પુરાણોમાં છે જ.અલબત્ત,ફોરમેટ જૂદું છે.એ તો હોય જ ને !વૈજ્ઞાનિક સત્યને સામાન્ય માણસની આસ્થા સાથે જોડવું જ પડે.બુદ્ધિજીવી અને શ્રધ્ધાજીવીની સપાટીમાં ફેર તો ખરો જ ને ,સાહેબ ?

    Like

    1. ખૂબ ખૂબ આભાર સાહેબ, હું મારો મત મક્કમપણે રજુ કરું છું, તેમાં વિવાદ લાગે તે સ્વાભાવિક છે, બાકી મને કોઈના પ્રત્યે અંગત દ્વેષભાવ હોતો નથી. આજ સુધી ટેબ્લેટ તો બધા આપતા જ આવ્યા છે. દયાનંદે જીવ ખોયો,ગાંધીએ ગોળી ખાધી, ઓશોએ પણ ખૂબ ગાળો ખાધી. હું તો આ મહાન આત્માઓની સરખામણીએ કશું કરતો નથી.

      Like

  10. Great Article Sir! ભારતીય સંસ્કૃતિના તથાકથિત દાવેદારો,દલાલો અને હવાલદારોને ચાબખા મારતા તો આપને ઘણીવાર જોયેલા પણ એક સવાલ મનમાં રહ્યા કરતો કે સંસ્કૃતિની ડાટ વાળનારા પર પ્રહાર કરવો સરળ છે પણ સંસ્ક્રુતિનો અભ્યાસ કરી અજાણ્યા સત્યો બહાર લાવા કઠીન છે..આપે ઉપર એ જ કામ બહુ સરળતાથી કર્યું છે..ધન્યવાદ!

    Like

  11. આપનો લેખ માટે ઘણુ સંશોઘન કર્યુ હોય તેમ લાગે છે.
    આપના લેખ સાથે હું સંમત છુ.
    અને આપે કહ્યુ ” દયનંદે જીવ ખોયો,ગાંધીએ ગોળી ખાધી, ઓશોએ પણ ખૂબ ગાળો ખાધી. હું તો આ મહાન આત્માઓની સરખામણીએ કશું કરતો નથી.” આવી ભૂલો આપણો મૂર્ખ સમાજ કરતો જ આવ્યો છે.

    Like

  12. કોઈ પણ ધર્મ માં વાર્તાઓ માત્ર ઉપદેશ કે સમજણ માટે હોય છે,જેને સત્ય માની લેવાથી આવી ભ્રમણાઓ પેદા થાય છે.

    અને,આપ મોરારીબાપૂની વાત કરો છો તો તે કંઈ શિવને શોધવા માટે કથા નથી કરતા અને તે અંધશ્રધ્ધા પણ નથી ફેલાવતા.

    અને શાસ્ત્રો માં કહ્યુ છે “શિવ અને જીવ” બંન્ને એક જ છે.

    Like

    1. બાપુ સલામ આપની હિમ્મતવાન કલમને ખૂબ સરસ લેખ…

      Like

    2. જ્યાં સતત બરફ છવાયેલો હોય કોઈ માણસ કે સાધન સગવડ હોય નહિ ત્યાં કથા ઉભા કરવાના નાટકની શું જરૂર? કેટલા બધા ખર્ચા અને માનવ કલાકોનો બગાડ થાય? એટલા પૈસામાં કોઈ સર્જનાત્મક કે સુધારાનું કામ થઇ જાય. એકાદ ગામડામાં તે પૈસામાંથી સંડાસ બનાવી આપ્યા હોય તો પણ સારું કામ થાય.

      Like

      1. મને યાદ છે એકવાર સ્વામી સચ્ચિદાનંદે કહ્યું હતું કે આજે મંદિર ની નહિ પણ વિદ્યામંદિર (શાળાઓ) ની જરૂર છે.

        Like

  13. મારું એવું માનવું છે કે શિવ નો મતલબ થાય સિસ્ટમ !
    શિવ એ ભગવાન કરતા વધારે સિસ્ટમ એડ્મીનીસ્ટેટર છે એમને દરેક કે દરેક સિસ્ટમો ને વ્યવસ્થિત રીતે મેનેજ કરી અને સ્વયંસંચાલિત કરી છે , શક્તિ એટલે એમને બેલેન્સ કરતી ફોર્સ ………………………………………

    એન્ટી મેટર /મેટર /એટોમ / મોલેક્યુલ્સ/ વગેરે દરેક પૂર્ણ સાયન્ટીફીક શબ્દો ના યોગ્ય ગુજરાતી અને હિંદી શબ્દો પ્રાપ્ય છે …મતલબ આપની પાસે આવા શબ્દો હતા જ = એનો મતલબ એમ કે અંગ્રેજી માં આવ્યા પહલે પણ આ શબ્દો તો આપની જોડે હતા , પરંતુ આપણે એને માટેરીઅલાઈઝ કરવામાં નિષ્ફળ નીવડતા હત અ !

    Like

  14. શિવના તાંડવ જેવો જ તાલબદ્ધ લેખ છે. આમારા અંગત મિત્ર વર્તુળમાં હું આપના લેખ વંચાવવાનો આગ્રહ રાખું છું. આર્ટસ કે કોમર્સ બેકગ્રાઉન્ડના વ્યક્તિઓ પણ સહજતાથી પૃથ્વી અને જીવની ઉત્પત્તિ સમજી શકે તેવી ભાષા અને જાણકારી અહી છે. ખરેખર તો અબજો વર્ષના ડેવલોપમેન્ટ એક જ લેખમાં સમજવા આમ તો થોડું મુશ્કેલ છે પણ આપે સામાન્ય જેનું સાયંસ બેકગ્રાઉન્ડ ના હોય તેને પણ સમજાય તેવી સરળ ભાષાનો ઉપયોગ કર્યો છે. મારો તો અનુરોધ છે જુદા જુદા કથાકારો જે ધાર્મિક કથા-પારાયણ કરે છે તેઓ શેર-શાયરી, લોકગીતો, રમુજો પણ સાંકળી લેતા હોય છે, તો આ લેખમાં મળે છે તેવી વૈજ્ઞાનિક હકીકતોને પણ સાંકળી લેવા જોઈએ. જો એમ થાય તો ધર્મ અને વિજ્ઞાન બંને વ્યાપક અને જ્ઞાનવર્ધક બને. આ લેખ વાંચીને કલાપીની એક પંક્તિ યાદ આવે છે :- “પોષતું તે મારતું તે દીસે ક્રમ કુદરતી”

    Like

  15. કેટાસ્ટ્રોફી એવા ભગવાન શંકરની જય. wahhh jaaakkksa information bapu mja pdi gy

    Like

  16. કેટલાય વાર પૃથ્વી બરફનો ગોળો બની ગઈ છે ને જ્વાલામુખીઓ એ એને બચાવી છે. જે કાર્બન ડાયોકસાઈડ ને ઝેરી ગણીએ છીએ એણેજ પૃથ્વીને વાતાવરણ આપ્યું છે. અને પહેલા જીવનનો ખોરાક પણ બનેલો છે. કેટલીય વાર ગ્લોબલ વોર્મિંગ થયું છે ને હિમયુગ આવ્યા છે. જે ઓક્સીજનના લીધે પૃથ્વી પરનું જીવન નાશ પામેલું, એનોજ ઉપયોગ કરીને જીવન આગળ ધપ્યું છે. તમે ગ્લોબલ વોર્મિંગ વધારશો તો પૃથ્વીને કોઈ નુકશાન નથી. ગ્લોબલ વોર્મિંગથી પૃથ્વીને ભયંકર નુકશાન પહોચાડસો એ વાત જ ખોટી છે. જે નુકશાન થશે એ તમને થશે. પૃથ્વી પોતે ગ્રેટ સર્વાઈવર છે. તમે જીવો કે મરો એની ચિંતા પૃથ્વી કરવાની નથી. તમે નાશ પામશો તો કોઈ નવું જીવન તમારાથી વધારે સુપર, જગ્યા લેશે. પૃથ્વીએ આજ સુધી એજ કર્યું છે. Great sir…

    Like

Leave a comment