Category Archives: 1

ગંગે ચ, યમુને ચ.

1329857_Wallpaper1 ગંગા તારું પાણી અમૃત?

આજે ગંગાને જુએ તો મહારાજા ભગીરથનો જીવ કકળી ઉઠે અને ગંગાને અવશ્ય પૂછે કે ગંગા તું બહેતી હે ક્યું? તો ગંગા પણ અવશ્ય જવાબ આપે કે અબ મૈ વો પવિત્ર ગંગા નહિ રહી જો આપ સ્વર્ગસે ઉતાર લાયે થે. અબ મૈ ગટરગંગા બનકે રહ ગઈ હું. મારે ગંગા ઉપર કોઈ ડોક્યુમેન્ટરી બનાવવી હોય તો અમિતાભ બચ્ચનને રાજા ભગીરથ બનાવી ઐશ્વર્યાને ગંગાના રૂપમાં દર્શાવી ઉપરનો સંવાદ એમના મુખે બોલાવી શરૂઆત કરું.

કેવા મહાન ઋષિઓ આ દેશના હતા કે જેમણે નદીઓને માતા કહી, ગાયને માતા કહી. અને આપણે મૂરખ ભારતીયોએ નદીઓને ગટરમાં તબદીલ કરી નાખી અને ગાયને પ્લાસ્ટિકનો ચારો ચરતી કરી દીધી. સવારમાં ઉઠીને સ્નાન કરતી વખતે ગંગે ચ યમુને ચ કહી શરીર ઉપર લોટા રેડતા, મારા મહાન દેશભક્ત મિત્રો આપણે રોજ ગંગામાં ૧.૭ અબજ લીટર ઔદ્યોગિક કચરા સાથે બીજો અનેક જાતનો કચરો વહાવીએ છીએ અને બીજા ૮ કરોડ ૯૦ લાખ લીટર સ્યૂઇજ(મળમૂત્ર) ઠાલવીએ છીએ. ખેર આંકડાકીય માહિતીમાં ફેરફાર હશે ક્યાંક, પણ ગંગે ચ યમુને ચ નું પાણી પીવાલાયક તો શું નહાવા લાયક પણ આપણે રહેવા દીધું નથી. કારણ WHO એ સેઈફ ગણી હોય તેવી પ્રદૂષણની માત્રા કરતા ગંગાનું પાણી ૩૦૦૦ ગણું પ્રદુષિત છે. Uttarakhand Environment Conservation and Pollution Control Board દ્વારા અભ્યાસ કરવામાં આવેલો તેમાં હરિદ્વાર નજીક ગંગામાં કોલીફોર્મ નામના બેક્ટેરિયાનું લેવલ ૫૫૦૦ આવ્યું જે લિમીટ કરતા ૧૦૦ ગણું વધુ હતું.

4 લાખ ચોરસ માઈલ આવરતી ગંગા ઉપર ૨૯ શહેર એવા છે જેમની વસ્તી એક લાખ કરતા વધુ છે અને 23 શહેર એવા છે જેમની વસ્તી ૫૦ હજાર થી લાખ વચ્ચે હશે અને ૪૮ ટાઉન છે જેમની વસ્તી ૫૦ હજાર કરતા ઓછી હશે. ૧૯૮૬માં રાજીવ ગાંધીએ ૪૬૨ કરોડ રૂપિયાનો ધ ગંગા એક્શન પ્લાન નામનો વારાણસી આગળ ગંગા સફાઈ માટેનો પ્રોજેક્ટ મંજુર કરેલો. પણ તે સફળ થયો નહિ. બીજા ફેજમાં મંજૂરી મળતાં ૨૦૧૪ સુધીમાં ૯૩૯ કરોડ વપરાઈ ચૂક્યાં છે. મનમોહનસિંઘ શું કામ બાકી રહે? National Ganga River Basin Authority (NRBA)નાં હેડ બની એમણે ૩૦૩૧ કરોડ ફંડ મંજુર કર્યું ગંગાનું પ્રદૂષણ નાબૂદ કરવા નહિ ફક્ત ઓછું કરવા. ૨૦૧૩ સુધીમાં ૭૮૫ કરોડ તેમાં પણ વપરાઈ ચુક્યા છે.

ગંગે ચ ની જેમ યમુને ચ ની પણ એજ દશા છે. પાલ્લા ગામથી મૈયા યમુના દિલ્હીમાં પ્રવેશ કરે છે અહિ 22 ગટર દ્વારા એમનો જલાભિષેક થાય છે. ૧૮ ગટરો તો સીધી જ એમાં ઠલવાય છે અને બાકીની 4 વાયા આગ્રા ગુરુગાંવની કેનાલો દ્વારા. દિલ્હી રોજનું ૧૯૦૦ મિલિયન લીટર સ્યૂઇજ પેદા કરે છે. છેલ્લા બે દસકામાં ૬૫૦૦ કરોડ યમુનાને ચોખ્ખી કરવામાં વપરાયા છે. જાપાનની મદદ લઈને પહેલા બે ફેજ માં ૧૫૦૦ કરોડ વપરાયા છે.

ન્યુ જર્સીથી બહાર પડતા ‘ગુજરાત દર્પણ’ માં અમારા પરમ મિત્ર કૌશિક અમીન લખે છે, ‘ યમુના કૃષ્ણ અને રાધાની પણ પ્રિય છે. વૈષ્ણવો માટે યમુનાનું જળ કદાચ ગંગાજળથી પણ વિશેષ છે. આજે તો વૃંદાવન-મથુરાના વિસ્તારોમાં વૈષ્ણવ યાત્રિકો જે આચમની લે છે, સ્નાન કરે છે તે માત્ર ગટરગંગા જ છે. આંકડાઓ અનુસાર ગંગા કરતા પ્રદૂષણની માત્રા યમુનામાં વધુ છે. મોદી સાહેબે શરુ કરેલો ‘નમામિ ગંગે’ કાર્યક્રમ ગંગા સફાઈ માટે ૨૦૧૯મા પૂરો થશે. તેમ જણાવ્યું છે. ૧૯૮૫મા આવો જ ખેલ ત્યારના વડાપ્રધાન રાજીવ ગાંધીએ પણ કર્યો હતો. અને કરોડો રૂપિયાનું આંધણ થયું, પરિણામ શૂન્ય! આજે પણ યમુનાના કિનારે જાવ તો પાણીની દુર્ગંધ માથું ફાળે તેવી હોય છે. આગ્રામાં અનેકવાર આખી નદી ગટરના ફીણથી ઉભરાયેલી જોવા મળે છે.’

મેં એકવાર લખેલું કે ગંગા તો વહેતી નદી છે. ગંગા હોય કે યમુના કે કોઈ પણ નદી એને ચોખ્ખી કરવા કરોડો ખર્ચીએ છીએ એના બદલે એમાં ગંદકી ઠાલવવાનું બંધ કરીએ તો આ વહેતી નદીઓ તો એકાદ બે ચોમાસામાં એમની જાતે જ ચોખ્ખી થઈ જાય. જરૂર છે દરેક શહેર પાસે સારા ઉત્તમ સ્યૂઇજ પ્લાનની. જો કે સરકારો તે દિશામાં કામ કરતી જ હશે પણ ક્યાંક ગરબડ જરૂર છે. આટલા બધા કરોડો રુપિઆ વપરાયા પછી નદીઓ એવી ને એવી ગંદી જ છે. કદાચ કાગળ ઉપર સ્યૂઇજ પ્લાન્ટ નખાઇ જતા હોય અને રૂપિયા ચવાઈ જતા હોય તેમ બને. આપણા દેશમાં કશું અશક્ય નથી કારણ,

“આપણે ધાર્મિક છીએ નૈતિક જરાય નહિ.”

દુશ્મનને લાડ કરો (appeasement reaction)

દુશ્મનને લાડ કરો (appeasement reaction)

૨૦૧૩માં લંડનનાં એક ઘરમાંથી ત્રણ સ્ત્રીઓને ૩૦ વર્ષથી ગુલામીની બેડીઓમાં જકડી પારાવાર પીડા આપવામાં આવતી હતી તેમાંથી છોડાવવામાં આવી. બ્રિટીશ પોલીસ દ્વારા આ બનાવને “highly traumatized’ અને “worst case of modern-day slavery” તરીકે ઓળખવામાં આવ્યો. ત્રીસ ત્રીસ વર્ષ તમે કોઈને ત્રાસ આપી સાથે રહેવા કઈ રીતે મજબૂર કરી શકો?

Chris Cantor અને John Price નામના ઓસ્ટ્રેલિયા અને યુકેના મનોવૈજ્ઞાનિકોએ આવા બનાવો ઉપર સરસ સંશોધનાત્મક તારણ કાઢ્યાં છે. આ કોયડાની કૂંચી ‘appeasement’ reaction માં મળી આવે છે. અપીઝમન્ટ એટલે શાંત પાડવું, શમાવવું, (આક્રમણ કરનારને) સવલતો કે લાંચ આપીને મનાવવાનો પ્રયત્ન કરવો, સંતુષ્ટ કરવું. આ વર્તણૂક આપણા genes અને બાયોલોજિમાં સખત રીતે ગૂંથાયેલી છે અને તે સર્વાઈવલ માટે હોય છે. સર્વાઈવલ માટે કાંતો લડો અથવા શરણે થઈ હુમલાખોરને ખુશ કરો. ઘણીવાર તો હુમલાખોર સામે મદદ કરવા આવનારને ભૂલી જઈ ને ઉલટા હુમલાખોરને લાડ લડાવનારા પણ હોય છે, આને ‘Stockholm syndrome’ કહેવામાં આવે છે. એ સમયે મદદકર્તા મિત્રોને નવાઈ સાથે આંચકો પણ લાગતો હોય છે. સ્ટોકહોમની એક બેંકમાં ૧૯૭૩માં ધાડ પાડવામાં આવેલી ત્યારે ધાડપાડુઓ દ્વારા અમુક લોકોને હોસ્ટેજ તરીકે રાખવામાં આવેલા. હોસ્ટેજીસને પોલીસ છોડાવવા આવી ત્યારે એ લોકોએ ઉલટા ધાડપાડુઓનો બચાવ કરી પોલીસને ગાળો દીધેલી. આમાંની એક સ્ત્રી તો એક ધાડપાડુનાં પ્રેમમાં પણ પડી ગયેલી.

૧૯૭૪માં એક ટેરરિસ્ટ ગૃપ દ્વારા Patty Hearst નામની એક સ્ત્રી કિડનેપ થયેલી. એને સાવ નાના બે ક્લૉઝિટમાં રખાયેલી. સતત એના પર બળાત્કાર કરવામાં આવેલા. બે મહિના પછી એને સ્નાન કરવાની છૂટ આપવામાં આવેલી. છેવટે એણે ટેરરિસ્ટ ગ્રૂપમાં જોઈન થવાની વિનંતી કરી અને બેંક લુંટમાં ભાગ પણ લીધેલો. એને સજા પણ થઈ હતી પણ પાછળથી માફી આપવામાં આવેલી. આપણે ત્યાં મનોવૈજ્ઞાનિકો આવા રસપ્રદ સંશોધન કરવાને બદલે કવિતાઓ કરતા હોય છે બાકી આને સ્ટોકહોમ સિન્ડ્રોમને બદલે ફૂલનદેવી સિન્ડ્રોમ કહી શકાય. ફૂલનદેવીને ડાકુ ટોળી દ્વારા ઉઠાવી જવામાં આવેલી અને એના ઉપર ટોળીનો સરદાર બળાત્કાર કરતો. સરદાર બદલાય એટલે નવા સરદારનો ત્રાસ સહન કરવાનો. ત્રાસ પછી માફક આવી મજા બની ગયો અને પોતે જ ટોળીમાં સક્રિય ભાગ લઈ લુંટફાટ મર્ડર કરવા લાગેલી. હરીફ ડાકુ ટોળી એકવાર એને ઉઠાવી ગઈ અને એના પર બધાએ બળાત્કાર કર્યો. આ બળાત્કાર કરનાર એકેય ડાકુને તે મારી શકી નહિ પણ વેરની વસૂલાત માટે જે ગામમાં રાખીને બળાત્કાર કરવામાં આવેલો તે ગામના નિર્દોષ ગામવાસીઓને એણે લાઈનબંધ ઉભા રાખી ૨૦ જણાને ગોળીએ દઈ દીધા. પછી તો આ મરનાર વીસ જણમાંથી કોઈ એકના વારસદારે મોટા થઈને, ધારાસભ્ય બનેલી ફૂલનદેવીને ગોળીએ ઉડાવી દીધી હતી.

આ ત્રાસ આપનારા જેને બાનમાં લીધી હોય તે વ્યક્તિ ઉપર અસહ્ય જુલમ ગુજારી તદ્દન અસહાય અવસ્થામાં ધકેલી દેતા હોય છે. ભયંકર એકાંત અને સૂગ ચડે તેવી સ્થિતિમાં રાખતા હોય છે. ઉપરથી ક્યારે મોત મળે તે નક્કી નહિ. એટલે સર્વાઈવલ મેકનિઝમ તરીકે અપીઝમંટ અને સ્ટોકહોમ સિન્ડ્રોમ નામની વર્તણૂક શરુ થઈ જતી હોય છે. ત્રાસ આપનાર હુમલાખોરને કોઈપણ હિસાબે ખુશ રાખો જેથી જીવ બચી જાય. આ અપીઝમંટ બિહેવ્યરમાં બીજી ત્રણ વર્તણૂક સમાયેલી છે એક તો શાંત પાડવું, પ્રસન્ન કરવું અને સમર્પિત થઈ જવું.

વાનરો અને કપિમાનવમાં(ape) હુમલાખોર જબરા વાનર પાસે માર ખાનાર વાનર પાછાં જતા હોય છે એની સહાનુભૂતિ જીતવા. એટલે સુધી કે હુમલાખોર સામે મદદ કરનારને બાજુ પર રાખી અવગણી હુમલાખોર પાસે જતા હોય છે. સમર્પણ કે સમર્પિત થઈ જવું પ્રાણી જગતમાં સામાન્ય છે અને તે સર્વાઈવલ માટે જરૂરી બની જતું હોય છે. તણાવ અને જોખમ સમયે આપણે કોઈ બીજી વ્યક્તિ સાથે સગવડ અને સલામતી માટે માનસિક સ્તર પર જોડાણ ઈચ્છતા હોઈએ છીએ. હવે ભયાનક અને તદ્દન એકાંતમાં બંદી બનાવાએલ વ્યક્તિ કે સ્ત્રી સામે એક જ વ્યક્તિ હોય છે તેને બંદી બનાવનાર. તો પછી તે સલામતી ખાતર એની સાથે જ માનસિક જોડાણ ઈચ્છશે બીજો કોઈ ઉપાય જ નથી. કારણ ભયાનક સ્ટ્રેસ સમયે બીજી વ્યક્તિ સાથે જોડાણ ઈચ્છવા માટે આપણે જીનેટીકલી ડિઝાઈન થયેલા છીએ. પવિત્ર લગ્ન વ્યવસ્થા જ્યારે આવી સ્થિતિ ઊભી કરતી હોય ત્યાં બીજો કોઈ ઉપાય ના હોય ત્યારે રોજ માથાં ફોડનાર, અસહ્ય માર મારનારા બેફામ પતિદેવને પ્રેમ કરી આખી જીંદગી સહન કરનાર સ્ત્રીઓ પણ હોય છે, એવી બેફામ જુલમી પત્નીઓને સહન કરનાર અસહાય પુરુષો પણ હોઈ શકે છે.

તકલીફ એ થાય છે કે આવા જુલમ સહન કરનાર, ત્રાસ સહન કરનાર પછી પોતાની જાતને દોષી માનવા લાગતા હોય છે. સમાજ પણ એમને દોષી માનવા લાગતો હોય છે. દાખલા તરીકે કોઈ સ્ત્રી વારંવાર કોઈ એક પુરુષના બળાત્કારનો ભોગ બની હોય ત્યારે સમાજ તો પહેલા એને જ દોષી માનશે. પેલી સ્ત્રી પણ પોતાને દોષી માનશે કે મેં વારંવાર આવું સહન કેમ કર્યું? પણ જો આપણે અપીઝમંટ રિએક્શનને સમજી શકીશું તો એનો દોષ નહિ દેખાય. સ્ત્રીઓ બળાત્કાર કરવા દેતી હોય છે કારણ એમને જીવનું જોખમ લાગતું હોય કે ભયંકર શારીરિક પીડા મળવાની શક્યતા હોય. અપહરણકર્તાને સેક્સ કરવા દેવામાં જીવનું જોખમ ઓછું થઈ જતું હોય છે.

જો તમે જબરા હો, મજબૂત હો, શક્તિશાળી હો તો તરત હુમલાખોર સામે હથિયાર ઉઠાવવાના જ છો પણ કમજોર હો તો પછી દુશ્મનને ખુશ કરો. ઘણીવાર તો મદદકર્તા મિત્રોને અવગણીને પણ દુશ્મનને ખુશ કરો. વ્યક્તિગત તો ઠીક આખા સમાજ આવું બિહેવ્યર કરી શકે છે. છેવટે તો આપણે સસ્તન પ્રાણીઓ સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલા છીએ એટલે સમૂહના વડા નબળા હોય તો આખા સમૂહને બીજા જબરા સમૂહ સામે સમર્પિત થઈ જવું પડતું હોય છે. ઘરના વડીલ નબળા હોય તો બીજા કુટુંબીઓ મારી જતા હોય છે. ઘરમાં બાપુજી કમજોર હોય તો પડોશીઓ, કાકાઓ, પિતરાઈઓ અને બીજા કુટુંબીઓ હેરાન પરેશાન કરી મૂકતાં હોય છે. પછી શરુ થાય છે અપીઝમંટ બિહેવ્યર, દુશ્મનને કોઈપણ હિસાબે ખુશ રાખો.

 

 

Spineless Leaders of Democracy (Karikatur von David Low, 8_ Juli 1936)

Miss you મા ભારતી – ૨

 

 

 

Miss you  મા ભારતી – ૨12417802_10206405258382975_3993704931096916108_n

 

પ્રિય યુવાન મિત્ર કૃણાલસિંહ સરસ મજાનો બુકે લઈને એરપોર્ટ ઉપર સ્વાગત કરવા હાજર હતા. મહાભારત ઉપર ફિલ્મ કે ટીવી સિરીયલ બનાવવી હોય તો કૃણાલને ભીમનું પાત્ર સોપવું પડે. મિત્ર વિક્રમસિંહને મિત્ર કહેવા કરતા નાનાભાઈ કહેવું વધુ સારું. તેઓ સરસ મજાના બુકે સાથે એમની કાર લઈને મને લેવા જ પધાર્યા હતા. શિવજીનાં પરમ ભક્ત વિક્રમસિંહ સાથે અમારે ચાર પેઢીનો કૌટુંબિક નાતો છે. વિક્રમસિંહનાં દાદા જગતસિંહ મારા પિતાના જુના મિત્ર હતા. વિક્રમસિંહનાં દીકરા રુદ્ર્પાલસિંહ અને મારો દીકરો ધ્રુવરાજસિંહ પણ નાના હતા ત્યારે જોડે રમતા. એરપોર્ટ પર એમના દીકરા શિવપાલસિંહ પણ ફેસબુકના આધારે મને ઓળખી ગયેલા. વિક્રમસિંહનાં તમામ સંતાનોના નામ ભગવાન શિવ ઉપર છે. એમના બંગલાનું નામ પણ રુદ્રાલય છે. મિતભાષી પણ ગ્રેટ હ્યુમર સેન્સ ધરાવતા વિક્રમસિંહ આજે સૌથી વધુ મને મિસ કરતા હશે તેની મને ખાતરી છે. હું, મારા ભાઈ પ્રદીપસિંહ, ભાઈ વિક્રમસિંહ અને એમના કઝન વિજયસિંહ જ્યાં સુધી ભેગા બેઠાં હોઈએ ત્યાં સુધી હાસ્યરસનાં સમુદ્ર જ હિલ્લોળા લેતા હોય તે નક્કી.

પ્લેન થોડું લેટ હતું, તો બેગ્સ વગેરે બહાર આવતા પણ થોડી વાર તો લાગતી જ હોય છે. લગભગ બારેક વાગ્યે માણસા આવી પહોચ્યાં તો મારા ભાઈ પ્રદીપસિંહ, વિક્રમસિંહના ભાઈ વિજયસિંહ, મારા કઝન મહેન્દ્રસિંહનાં દીકરા એવા ભત્રીજા રણજીતસિંહ એમના માતા અને કુટુંબ સાથે સ્વાગત કરવા હારતોરા કરવા કાગડોળે હાજર હતા. હું અંગત રીતે આવી પરંપરાઓમાં બહુ માનતો નથી પણ સામેવાળાના દિલની હાલત પણ જોવી જોઈએ. એમની ખુશીમાં મારી ખુશી હોવી જોઈએ. મને હાર પહેરાવીને કોઈને અનહદ ખુશી મળતી હોય તો મારે શું કામ જડ વિરોધ કરવો જોઈએ?

ગુજરાત સમાચારના સિનીયર એડિટર મિત્ર ધૈવત ત્રિવેદીએ મારા માટે એમના એક મિત્રને પરમ્પરા ભંજક તરીકે ઓળખાણ આપેલી. પણ અમુક પરમ્પરાઓ બહુ નુકસાનદેહ હોતી નથી. જડભંજક બનવામાં બહુ મજા નથી.

અનૌપચારિક અને દિલથી કરાયેલી સ્વાગત વિધિ બાદ બધા હક્કાબક્કા હતા કે હવે શું કરવું? બધા મને જોઈ એટલા ખુશ હતા કે એમને શું કરવું સમજ પડતી નહોતી. મારી જોડે એનો ઉપાય હતો, બ્લેક લેબલ.. બહુ વર્ષે આવ્યો તો પાર્ટી તો બનતી હૈ કી નહિ? જમવાનું રેડી હતું પણ કોઈને જમવામાં રસ નહોતો. પ્રિયજનનાં દર્શન થાય તો ભૂખ મરી જતી હોય છે. અને મારો ખોરાક હવે સાવ ઓછો થઈ ગયો છે. પ્લેનમાં પણ ચારેકવાર નાસ્તો અને ભોજન અપાયેલું જે મારા માટે વધારે પડતું હતું. બ્લેક લેબલના જામ ભરાઈ ચૂક્યા હતા પણ ભારતીય રિવાજ મુજબ મેં એમાં બ્લેક લેબલની આબરૂ શું કામ કાઢો છો કહી પાણી કે સોડા ઉમેરવા દીધું નહિ.

“કોઈ મિલાવે પાણી બરફને કોઈ મિલાવે સોડા, અમે જિંદગી મોઢે માંડી નીટેનીટ પીધી” લલકારીને બધાને ચીયર્સ કહી નીટ બ્લેક લેબલના ઘૂંટ મારવા મજબૂર કરી દીધા. યસ! મેં મારી જીંદગી નીટેનીટ પીધી છે. હું એમાં દંભના પાણી, બરફ કે સોડા ઉમેરતો નથી. જેવો છું એવો છું. ખરાબ કહો કે સારો હું તો જેવો છું એવો જ છું. પ્રેમ કરો કે નફરત જેવો છું એવો જ છું. અને એટલે જ જીંદગી હોય, શરાબ હોય કે શબાબ તમામને નીટેનીટ આ પીનારને લોકો બહુ ચાહે છે. હસી ખુશી, મજાક મસ્તી અને જમતા લગભગ સવાર પડવા આવી ત્યારે બધા ઊંઘવાને તૈયાર થયા.

બીજા દિવસે પહેલું કામ પરમીટ લેવાનું કર્યું. દસ દિવસ પુરતી બે બોટલ મળે. બે બોટલ તો ફક્ત બે દિવસ જ ચાલે આ હેવી ડ્રીન્કર્ અને થીન્કર માટે. ગુજરાતમાં દારૂબંધી એક બહુ મોટો દંભ છે. દારૂબંધી પોલીસખાતા અને પ્રધાનો માટે બહુ મોટી કમાણીનું સાધન માત્ર છે. માટે જ ગાંધીજીનું નામ લઈને એને ચલાવી રહ્યા છે લુચ્ચા રાજકારણીઓ.

ત્રીજા દિવસે ગુજરાતી સાહીત્યોત્સવ (GLF) માં મજા પડી ગઈ.12548979_10206405293583855_6097322768225537092_n

અમેરિકાથી આવ્યો ૭મી ની મોડી રાત્રે. એટલે એક દિવસ આરામ કરી નવમી જાન્યુઆરીનાં દિવસે GLF એટલે ગલ્ફ નહિ પણ ગુજરાતી સાહિત્યોત્સવમાં (ગુજરાતી લિટરેચર ફેસ્ટીવલ) જવાની સારી એવી ઉતાવળ હતી. પહેલીવાર કદી ના જોયેલા, ના રૂબરુ મળેલાં મિત્રોને મળવાની તાલાવેલી ખૂબ હતી અને એવા મિત્રોમાં લેખકો હતા તો મારા વાંચક અને ચાહક મિત્રો પણ હતા. કોણ મળશે અને કોણ નહિ મળે તેનો કોઈ અંદાઝ નહોતો. મિત્ર વિક્રમસિંહ એમની કારમાં કનોરીયા સેન્ટર પર ઉતારી સાંજે પાછા લેવા આવવાનું કહી ગયા.

પ્રવેશદ્વાર પર રાજકોટનો યુવાન નવલકથાકાર ભવ્ય રાવલ હાજર જ હતો. ભવ્ય અન્યાય સામે લડી લેનારો બાહોશ યુવાન છે. એનામાં મને બહુ શક્યતાઓ દેખાઈ રહી છે. અંદર ગયા પછી ધીમે ધીમે એક પછી એક યુવાન મિત્રો મળવાનું શરુ થયું. લગભગ ચારેક જગ્યાએ જુદા જુદા સત્ર ચાલતા હતાં. યુવાન જેનામાં ખૂબ સંભાવના દેખાઈ રહી છે તેવો સ્તંભ લેખક અભિમન્યુ મોદી મળ્યો. અભી બહુ સારો લેખક છે. ક્યારેક મારો નહિ મારી વાતોનો વિરોધ કરતો હોય છે પણ એ તો ઉમદા નિશાની છે. જુના ખડૂસ લેખકો કરતા અભિમન્યુ મોદીને વાંચવો સારો એવું મારું અંગત માનવું છે. અભી જેવો જ સીટી ભાસ્કરનો યુવાન ઉત્સાહથી ભરેલો પત્રકાર તુષાર દવે મળ્યો. હવે યુવાન શબ્દ લખવો નથી લગભગ ૯૯ ટકા યુવાન મિત્રો જ મળ્યા હતા. હું હમેશાં ફેસબુક પર તરોતાજી તસવીરો મૂકતો હોઉં છું એટલે મિત્રોને ઓળખવામાં જરાય તકલીફ પડે નહિ છતાં સાવચેતી ખાતર કોઈ કોઈ મિત્રો પૂછતા. વખાણ કોને ના ગમે? મિત્રો એક પછી એક પ્રસંશાનાં  પુલ બાંધે જતા હતા અને મારા મગજમાં  પ્રેમ અને વિશ્વાસ જનક રસાયણ ઓક્સિટોસીન સાથે પારિતોષક મળતા હર્ષ અનુભવાય તેને જવાબદાર રસાયણ ડોપમીનનાં ફુવારા વછૂટે જતાં હતા જે અનહદ ખુશી અર્પતા હતા.

વચમાં એક વાત કહી દઉં મિત્રોને ચહેરા પરથી તો તરત ઓળખી જવાય પણ એમના કદ, કાઠી અને વર્ણ વિશેના અનુમાનો ખોટા પડતા હોય છે તેવું મેં અનુભવ્યું. અને આવો જ મહાન વિચાર મારી સાથે દીપક સોલિયા સાહેબને આવેલો જે એમના લખાણ પરથી જાણ્યું. બે સરખા સ્તરના લોકોને સરખાજ વિચારો આવી શકતા હોય છે, ભલે સમય જુદો હોય. મેધા જોશી અને શીતલ દેસાઈ તો જેવા ધારેલા તેવા જ નીકળ્યા ચાલો એમાં હું ખોટો ના પડ્યો. અમુકમાં હું ખોટો પણ પડ્યો. ખોટો પડ્યો મતલબ નિયમ સાચો છે. મેધા મનોગ્રામ લખે છે બહુ સરસ વાંચવા જેવું.

મેં વર્ષો સુધી સંદેશ દૈનિક મંગાવેલું. પૂર્તિ આવે એટલે પ્રથમ પાનાની મુખ્ય લીટીઓ વાંચી તરત ઊંધું ફેરવી પહેલી ફિલમની ચિલમ વાંચવાનો મારો નિયમ રહેતો અને તે લખનાર આદરણીય સલિલ દલાલ સાહેબને મળીને ખુબ આનંદ થયો. રમૂજી, હસમુખ ચહેરો ઊંચા કદ-કાઠી અને ગૌર વર્ણ ધરાવતાં મેં ધારેલા તે જ પ્રમાણે સલિલ દલાલ સાહેબ રૂબરુ મળશે વાતો કરશે એમના પુસ્તકો પર મારા માટે પ્રિય બાપુ લખીને હસ્તાક્ષર સાથે મને આપશે તે મેં કદી ધારેલું જ નહિ. પ્રિય બાપુ પછી એમણે મારા માટે શું લખેલું તે હું નહિ કહું ગુપ્ત વાત છે. એમણે ફિલમની ચિલમ લખવાની બંધ કરી પછી મેં એવી ચિલમો પીવાની બંધ કરી દીધી. એમની કુમાર કથાઓ અહિ અમેરિકા આવ્યા પછી મેં વાંચવાની પૂરી કરી દીધી. સાહિત્ય અને ફિલ્મી ગોસીપ ભેગું વાંચવું હોય તો સલિલ ઠક્કરને વાંચવા જોઈએ.

પહેલા દિવ્યભાસ્કર અને હવે સંદેશમાં લખતા દીપક સોલીયા સાહેબ સાથે પણ ખુબ વાતો કરી, એમની ઓળખાણ આપવાની ના હોય. એમના સ્વભાવની સૌમ્યતા એમના લખાણોમાં પણ કાયમ છલકાતી હોય છે. પહેલા ગુજરાત સમાચાર અને હવે દિવ્યભાસ્કરમાં લખતા ઉર્વીશ કોઠારીને ધારેલા તેનાં કરતા યુવાન અને પાતળિયા લાગ્યા. હું એમના લખેલા નીડર બ્લોગની અવારનવાર મુસાફરી પણ કરી આવું છું. ઉર્જાથી ભરપુર મિત્ર ધૈવત ત્રિવેદી પણ મળ્યા. એક રાષ્ટ્રપ્રેમ થી છલકાતાં વોટ્સેપ સમૂહમાં હું ને ધૈવતભાઈ સાથે હતાં.

માતૃભાષા પ્રત્યે પ્રેમ સહુને હોય છે પણ તે પ્રેમ વાણી સાથે આંખોમાં, હાવભાવમાં, અંગોના ઉછાળામાં, હોઠના વળાંકમાં, આંખોના ઉલાળામાં, શબ્દોચ્ચારના આરોહમાં અવરોહમાં, અટ્ટહાસ્યમાં ઉછાળતા તદ્દન નૈસર્ગિક એવા મુર્તઝા પટેલ આવ્યા ને વાતાવરણ જીવંત બની ગયું. શબ્દે શબ્દે મારી ભાષા અને મારા માનવી એવો અહેસાસ કરાવતા મુર્તઝા પટેલ છેક કેરો ઈજીપ્ત થી આવીને ખરેખર ગદગદિત કરી ગયા. મને મજાક કરવાની થોડી વધારે પડતી આદત છે. મુર્તુઝાને મેં કહ્યું જેસીકૃષ્ણ ઉપરથી જીસસ ક્રાઈસ્ટ પડ્યું તેમ મુરત જો તો જા ઉપરથી મુર્તુઝા પડ્યું છે. તો હસી હસીને મુર્તુઝા બેવડ વળી ગયા.

સિવીલ એન્જીનીયર પ્રાધ્યાપક અધીર અમદાવાદી મળ્યા. તો એમના ભાઈ બધીર પણ મળ્યા. ખુબ વાતો થઈ.  આ નાગરો જન્મજાત બુદ્ધિશાળી અને મેનેજર હોય છે એમાં કોઈ શક નહિ. સેજલ પટેલ અને એની નાનકડી ટીમ સાથે બહુ વાતો કરીને કોફી પણ પીધી. અને પછી મીઠડો મારો મિત્ર જય વસાવડા આવે એટલે વ્યવસ્થા ખોરવાઈ જાય તે હદે યુવાનોના યુવતીઓના ટોળા દોટો મુકે એમાં કોઈ શક નહિ. એમના સવાલ-જવાબનું સત્ર પૂરું કરી અમે ગુજરાતી સાહિત્યોત્સવનાં પવિત્ર સ્થળ પરથી વિદાય લીધી.

લગભગ સતત ઉભા રહીને મારા ચાહક વાચક યુવાન યુવતીઓ સાથે વાતો કરી કરીને થાકી ગયેલો. ખુબ મિત્રો મળ્યા બધાના નામ યાદ પણ નથી રહ્યા. તમામ મિત્રોનો ખુબ ખુબ આભારી છું. કારણ મિત્રો છે તો હું છું. શરીરે થાકેલો પણ મારા ચેતાતંત્ર પ્રમાણે ખુબ તાજગીભર્યો હતો. કારણ હતું બ્રેનમાં છુટેલા ઓક્સિટોસીન, ડોપમીન અને સેરેટોનીન ફુવારા.. પછીના દિવસે અંગત સ્વજનના મૃત્યુ નિમિત્તે વ્યસ્ત હોવાથી અવાયું નહિ, પણ આ સાહીત્યોત્સવ ખુબ આવકારદાયક છે અને યુવાન મિત્રો પુષ્કળ હાજરી જોઈ થયું કે ગુજરાતી સાહિત્યનુ ભવિષ્ય ખુબ ઊંચું છે, ડરવાનું કોઈ કારણ છે જ નહિ.

વધુ આવતે અંકે…..

 

1457589_10206405276423426_3757653300764189518_n

Miss you મા ભારતી – ૧

 

 

 

Miss you  મા ભારતી – ૧

ભારતમાતા કોઈ સદેહે હરતી ફરતી સ્ત્રી નથી. આ એક વિભાવના છે. મૂળ તો જમીનનો એક બહુ મોટો ટુકડો જ છે. પણ એ જમીનનો એક ટુકડો માત્ર નથી. એના ઉપર ઉગેલું ધાન ખાઈને જીવન ટકાવીએ છીએ. માતૃભૂમિ મધરલેન્ડ પ્રત્યે એક માતા સરીખું માન હોય છે. માતા ધવડાવીને બાળકને મોટું કરે છે તેમ મધરલેન્ડ પર ઉગેલું અનાજ ખાઈ મોટા થઈએ છીએ. માટે ધરતીને માતા કહીએ છીએ. એક ભાવ છે. માતા તરીકે એક પ્રતિક છે. જનમ આપનારી માતા માટે કોઈ મૂરખને જ માન ના હોય. એમ જ માતૃભૂમિ માટે કોઈ મૂરખનેજ માન નાં હોય.

વંદે માતરમ નો સીધોસાદો અર્થ શું થાય? માતાને વંદન. કોઈ મુસલમાન એની માતાને આદાબ નહિ કહેતો હોય? ભારત માતા શું છે? ભારત નામના દેશની જમીન, કે તે જમીનમાંથી પાકેલું અનાજ ખાઈને જીવીએ છીએ. માતા ધવડાવીને જીવાડે છે તેમ આ જમીન એમાંથી અનાજ પકવીને જીવાડે છે. તો એને માતાનું પ્રતીક માન્યું તો એમાં વાંધો શું આવ્યો અને એની જય બોલાવી તો વાંધો શું પડ્યો? મૂરખાઓ છે જે આવા શાબ્દિક અર્થ-અનર્થ કરી વિવાદ ખડા કરે છે.

અરે ભાડાના ઘર પ્રત્યે પણ મમતા બંધાઈ જતી હોય છે તો આતો તમારી માતૃભૂમિ છે. માતાની છાતીમાંથી દૂધના ફુવારા ઉડે  છે અને ધરતી માતાની છાતી ચીરી ફસલ પાકે છે ત્યારે તમે જીવતા છો બાકી ક્યારના મરી પરવાર્યા હો…

માતુશ્રી સીતાબા આશરે ૯૨-૯૩ વર્ષના હશે. એમની તબિયત પણ બહુ સારી નથી રહેતી તેવા સમાચારે મનમાં ઉથલપાથલ થયા કરતી હતી. જેણે એના થાનમાંથી ત્રણ ત્રણ વર્ષ મને અમૃત સિંચ્યા છે અને એટલે જ આજ સુધી જીવ્યો હોઉં કે બુદ્ધિ પામ્યો હોઉં તો એને મન ભરીને મળી તો લઉં. મૂળે વાસ્તવવાદી સ્વભાવ એટલે થયું કે આ છેલ્લો ચાન્સ છે માતાને જોઈ લેવાનો. ફરી આવું ત્યારે હોય કે ના પણ હોય. ભારતમાતા તો અજરામર છે. હું મરી જઈશ તે મરવાની નથી. પણ મને જનમ આપનાર સીતાબા અજરામર નથી.

બાય ધ વે મારે ખરેખર ત્રણ માતાઓ છે. એમાં એક હતી કહેવાય અને બે હાજર છે, અને એમાંથી એક(ભારત) કાયમ હાજર રહેવાની છે. હતી એમને અમે મોટલી એટલે મોટી મા કહેતા. આ મોટી મા બહુ લાડ-પ્યાર કરતી. આખો દિવસ કેડમાં તેડીને ફર્યા કરતી. ભાવતા ભોજન જેવા કે સુખડી કે શીરો બનાવી ખવડાવતી. એણે એની કૂખે જનમ નહોતો આપ્યો પણ પ્રેમ આપવામાં પાછી નહોતી પડી. એને યાદ નો કરું તો નગુણો કહેવાઉં.

બસ એમ જ મિત્રો, સગાસંબંધીઓ, ભાઈઓ, બહેનો અને માતા સાથે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગદપી ગરીયસીને મળવાની પણ બહુ તાલાવેલી હતી. એટલે ટિકિટ તો બહુ વહેલી બુક કરાવી જ દીધી હતી. છેવટે એ દિવસ આવી પહોચ્યોને તારીખ ૬ જાન્યુઆરી ૨૦૧૬નાં દિવસે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બેસી પણ ગયેલો. પ્લેન ઉપડે પછી મારો કાયમનો મોબાઈલ ઓફ થઈ જવાનો હતો માટે પ્લેનમાં બેસી એક ફોટો પાડી ફેસબુકમાં મૂકી પણ દીધેલો જેથી મિત્રોને જાણ થઈ જાય કે બાપુની સવારી પધારી રહી છે. ફ્લાઈટ નોનસ્ટોપ મુંબઈ સુધી તો હતી જ. કમનસીબે સીટ આગળ રહેલો સ્ક્રીન બગડેલો જેથી કોઈ મુવી કે એવું બીજું કશું જોઈ સમય પસાર કરવાનું કોઈ સાધન મળ્યું નહિ. એરઇન્ડિયાની એટલી ખામી તો કહેવાય જ. ઘેર આવવાની અને વતનમાં બધાને મળવાની ઉત્તેજના એટલી હતી કે આ હેવી ડ્રીંકરે પ્લેનમાં મળતા ફ્રી શરાબની મોજ માણવાનું મુલતવી રાખી ફક્ત સોડાથી ચલાવી લીધું હતું… ભોજનમાં હવે ખાસ રસ રહ્યો નથી. જે મળે તે ખાઈ લેવાની માનસિકતા થઈ ચૂકી છે. ૧૭-૧૮ કલાકમાં ચારેકવાર ખાવા યેનકેન પ્રકારે મળે તો ખવાતું પણ નથી.

સતત બેસીને પગ અકળાઈ જતા હતા તો થોડું ફરી લેવાનું મન થતું. એક ઉંચાઈએ પહોચ્યા પછી પ્લેન સ્થિર હોય એમ જ લાગે. જેના આગળની સીટના સ્ક્રીન ચાલુ હોય તે કોઈ મુવી કે કપિલના કોમેડી શો જોઈ અથવા ઊંઘીને ટાઈમ પાસ કરતા હતા. પ્લેનમાં રાતદિવસની બહુ સમજ પડે નહિ. દિવસ હોય તો દિવસ જ રહે ને રાત હોય તો રાત જ રહે. મુંબઈ આવ્યું ત્યારે રાત પડી ચૂકી હતી. પેસેન્જર ઉતર્યા અને નવા બેઠા એમાં બે કલાક બીજા વીતી ગયા. અમદાવાદની સાત જાન્યુઆરીની રાતે આશરે નવેક વાગ્યે ઉતરાણ થયું. બેગો વગેરે આવતા બીજો દોઢેક કલાક વીતી ગયો પછી બધું લઈને એરપોર્ટ બહાર નીકળવાનું બન્યું. કોણ લેવા આવ્યું હશે ખબર નહોતી. આશા હતી નાનાભાઈ હાજર હશે પણ તેઓ ઘેર રોકાઈ ગયા હતા. જુના મિત્ર વિક્રમસિંહ રાણાને હાથ હલાવતા જોયા. એટલે ખબર પડી ગઈ કે તેઓ જ લેવા આવ્યા છે. તો બહાર કૃણાલસિંહ બુકે લઈને ઉભા હતા. છ ફૂટિયા જાયન્ટ કૃણાલસિંહ પગે પડ્યા તો એરપોર્ટ પર ઘણા બધાની આંખો ચાર થઈ ગયેલી જોઈ અને ભારતમાં ખૂબ માનસન્માન મળવાનું છે તેનો આ પહેલો ચમકારો જણાઈ આવતો હતો. …. વધુ આવતા અંકે…

 

cmdv12507392_10206380413601871_262852003224427_n

બાજીરાવ મસ્તાની

બાજીરાવ પહેલાં,bajirao-peshwa-in-pune

એટલે શિવાજીના વારસદાર મરાઠા છત્રપતિ શાહુ મહારાજના પેશ્વા (પંત પ્રધાન). એમના પિતા બાલાજી વિશ્વનાથનાં હાથે તાલીમ પામેલા, પિતાના મૃત્યુ પછી ફક્ત ૨૦ વર્ષની ઉંમરે પેશ્વા બન્યા. દુશ્મનને અંદાઝ ના હોય એટલી ચીલ ઝડપે ઓચિંતો હુમલો કરનાર ૧૯ વર્ષની કારકિર્દીમાં ૪૧ યુદ્ધ લડનાર અને તમામ જીતનાર ૩૯ વર્ષની યુવાન વયે તાવમાં મૃત્યુ ના પામ્યા હોત તો દિલ્હીના તખ્ત પર વિરાજમાન હોત એમાં કોઈ શક નહિ. મધ્ય ભારતના નામાંકિત બુંદેલખંડનાં મહારાજા છાત્રશાલને મોગલો સામેના યુદ્ધમાં મદદ કરનાર બાજીરાવ પર મહારાજા છત્રશાલ ઓવારી જાય એમાં કોઈ નવાઈ નહિ. બાજીરાવને એમણે ઝાંસી, સાગર અને કાલ્પીની જાગીર સાથે ૩૩લાખ સોનાના સિક્કા અને એક હીરાની ખાણ સાથે એમની પર્શિયન મુસ્લિમ પત્ની વડે થયેલી મસ્તાની નામની દીકરી સાથે લગ્ન પણ કરાવી આપેલા. મસ્તાની પોતે સારી ઘોડેસવાર, ભાલા અને તલવાર ચલાવવામાં ઘણી કાબેલ હતી. યુદ્ધમાં તે બાજીરાવ સાથે કંપની આપતી તેવું પણ કહેવાય છે. આ લગ્ન રૂઢીચુસ્ત ચિતપાવન બ્રાહ્મણ કુંટુંબના બાજીરાવના માતા, ભાઈ અને એમની પ્રથમ પત્ની કાશીને મંજુર નહોતા. મસ્તાની બાજીરાવના સત્તાવાર નિવાસસ્થાન શનિવારવાડામાં થોડો સમય રહેલી પછી એના માટે બાજીરાવે મસ્તાની મહેલ બનાવેલો. મસ્તાની બાજીરાવના કોર્ટ કચેરીના કામોમાં પણ સહભાગી થતી અને એક્ટિવ ભાગ ભજવતી.

બાજીરાવ મસ્તાનીનો પુત્ર શમશેર બહાદુર બાજીરાવના મૃત્યુ સમયે ફક્ત છ વર્ષનો હતો પાછળથી તે બાંદાની જાગીર સંભાળતો અને મરાઠાઓના પક્ષે ૧૭૬૧મા અહમદશાહ અબ્દાલી સામેની પાણીપતની લડાઈમાં લડેલો અને મૃત્યુ પામેલો. શમશેર બહાદુર(કૃષ્ણરાવ)નો વારસદાર અલી બહાદુર(કૃષ્ણસિંહ) બાંદાના નવાબ કાયમ મરાઠા તરફે રહેલા, અને એમનો પૌત્ર શમશેર બહાદુર બીજો ૧૮૦૩મા એંગ્લો-મરાઠા વોર સમયે મરાઠા પક્ષે અંગ્રેજો સામે લડેલો.  બાંદાના આ નવાબોએ હમેશાં મરાઠાઓ ને યુદ્ધોમાં સાથ આપેલો. એપ્રિલ ૧૭૪૦મા બાજીરાવ ઓચિંતા તાવમાં પટકાયા અને મૃત્યુ પામ્યા ત્યારે કાશીબાઈ, ભાઈ ચીમનાજી, પુત્ર બાલાજી સાથે મસ્તાની પણ આવેલી. મસ્તાની પછી બહુ લાંબું જીવી નહોતી પણ એના મૃત્યુ વિષે જાત જાતની કથાઓ છે. એક કથા પ્રમાણે સતી થયેલી તો કોઈ કહે છે ઝેર ખાઈને જીવન ટૂંકાવેલું. પણ તેના મૃત્યુ સમયે ફક્ત છ વર્ષના એના પુત્ર શમશેર બહાદુરને કાશીબાઈએ પોતાના પુત્રની જેમ ઉછેરેલો તેવું કહેવાય છે. બાજીરાવના હાલના વારસદાર ઉદયસિંહ પેશ્વા સાથે બાજીરાવ-મસ્તાનીના હાલના વારસદારો ઓવૈસ બહાદુર નવાબ સાહેબ, નવાબ ઝુલ્ફીકાર બહાદુર IV, શાહીન બહાદુર, નવાબ ઉસ્માન બહાદુર (નવમી પેઢી), આ બધા એક યાં બીજા કારણોસર બાજીરાવ-મસ્તાની ફિલ્મના નિર્માતા, દીર્ગદર્શક અને સંગીતકાર એવા સંજયલીલા ભણશાળી થી નારાજ છે.

ખેર હવે ફિલ્મની વાત કરું તો ઐતિહાસિક દ્રષ્ટીએ સંજયલીલા ભણશાલીએ થોડા નજીવા ફેરફાર સિવાય કોઈ ખાસ ફેરફાર કર્યો હોય એવું લાગતું નથી. મસ્તાની નૃત્ય કલામાં માહેર હતી તેના કરતા વોરિયર વધુ હતી. એનું અડધું લોહી તો હિંદુ હતું પણ રૂઢીચુસ્ત બાજીરાવના કુટુંબ તરફથી અવહેલના સાથે તકલીફો પણ પામેલી તે અહિ બરોબર બતાવ્યું છે. રાજપૂત રાજાઓ તો અનેક પત્નીઓ રાખવા ટેવાયેલા હતા તેમ એમની પત્નીઓ પણ પતિની અનેક પત્નીઓ હોય એમાં ખાસ વાંધો નો લેતી. ઉલટાની રાજા નવી પત્ની લઈ ને ઘરમાં આવે ત્યારે જૂની પત્ની જ એને પોંખી ઘરમાં આવકાર આપતી. પણ આ બાજીરાવ તો મરાઠી ચિતપાવન બ્રાહ્મણ હતાં. અહીં પત્નીઓ આવી રીતે ટેવાયેલી ના હોય કે બ્રાહ્મણ સમાજ પણ ટેવાયેલો ના હોય એમાંય મસ્તાનીનું અડધું લોહી મુસ્લિમ હતું. બાજીરાવના ટૂંકા જીવનકાળમાં યુદ્ધોમાં અતિશય વ્યસ્ત રહેવું, લગભગ દર છ મહીને એક યુદ્ધ એવા ૪૧ યુદ્ધની કથા તો અહિ ત્રણ કલાકમાં એક આખી વોર ફિલ્મ બનાવીએ તો પણ બતાવી નો શકાય. સંજયલીલા ભણશાલીએ કોઈ વોર ફિલ્મ નહિ લવસ્ટોરી બનાવી છે. છતાંય આ પ્રેમકહાનીને ઘડનારા યુદ્ધને બરોબર બતાવ્યું છે.

એક મહત્વની બીજી બાબત સંજયલીલા એ યુદ્ધ સમયે બતાવી છે તેના માટે હું એમને ખાસ દાદ આપવા માંગુ છું. નવી પેઢીને જુના સમયે યુદ્ધમાં વપરાતાં શસ્ત્રો વિષે ખાસ માહિતી હોય નહિ તે સ્વાભાવિક છે. એમને ખાલી તલવાર, તીર કે ભાલા વિષે માહિતી હોય. તલવાર ટૂંકી અને એની બ્લેડ કડક હોય છે. સરખી વાપરતાં નો આવડે તો તલવારના બે ટુકડા પણ થઈ જાય. અહિ ફિલ્મમાં બાજીરાવ બનેલા રણવીરસિંહનાં હાથમાં સંજયે પટાબાજીમાં વપરાતો પટો બતાવ્યો છે. પટો તલવાર કરતાં બહુ લાંબો હોય છે. બીજું એની બ્લેડ તદ્દન વળી જાય તેવી ફ્લેક્સીબલ હોય છે. એની મૂઠ તલવાર કરતા અલગ હોય છે પણ લાંબા પટાની અણી એની મૂઠને વાળીને અડાડી શકો પણ બટકાય નહિ. તલવારબાજી કરતાં પટાબાજી કરવામાં બહુ વધારે કાબેલિયત જોઈએ. આવડત નો હોય તો પટો તમને પોતાને જ કાપી નાખે. પટો બહુ લાંબો હોવાથી દુશ્મન ખાસો દૂર હોય તો પણ એને ચીરી શકાય છે.તલવાર અને પટો

ફિલ્મમાં રણવીરસિંહ અદભુત કૌશલ્યથી પટો ફેરવતો બતાવ્યો છે. તો બીજા યુદ્ધમાં તો બંને હાથે બે પટા હાથમાં લઈને પટાબાજી કરતો બતાવ્યો છે તે અદ્ભુત હતું. તલવાર કરતા દસગણું જીવલેણ આ હથિયાર વાપરતા નો આવડે તો પોતાને જ મારી નાખે. અહિ હોલીવુડની નકલ કરવાની કોઈ ગુંજાશ જ નહોતી. અહિ તો હોલીવુડે આ ભારતીય મરાઠા યોદ્ધાની પટાબાજીની નકલ કરવી પડશે. બંને યુદ્ધોમાં રણવીરસિંહ પટાબાજી કરે છે હું માનું છું દુનિયાના તમામ ફિલ્મી યુદ્ધ દ્રશ્યોમાં યુનિક છે. જ્યારે આપણો ફિલ્મ ઉદ્યોગ કાયમ હોલીવુડની નકલ કરવા વર્ષોથી ટેવાયેલો હોય ત્યારે ખાસ ક્રેડીટ ગોઝ ટુ સંજયલીલા ભણશાળી.

રણવીરસિંહ, બન્દેમે દમ તો પહેલેસએ હી બહોત થા. ફક્ત ૨૦ વર્ષની યુવાન વયે પેશ્વા બની બીજા ૧૯ વર્ષમાં ૪૧ યુદ્ધ લડી જીતી ૩૯ વર્ષે મૃત્યુ પામવું એટલે આવા ડેશિંગ પાત્ર માટે પચાસ પચાસ વર્ષ વટાવી ચુકેલી ખાન ત્રિપુટીની વરણી તો નકામી જ હતી. બીજું ત્રણે ય ખાનની એક સ્પેશલ ઈમેજ ઉભી થઇ ગઈ છે. એમાં તે બાજીરાવ ને બદલે વધારે સલમાન, શાહરૂખ કે આમીર લાગે. રણવીર હજુ નવો છે અને ભલે ઘણીબધી ફિલ્મો આવી હશે એની, પણ સફળ ફિલ્મોમાં આ એની બીજી ફિલ્મ છે. પ્રિયંકા, દીપિકા જેવી સક્ષમ અભિનેત્રીઓએ સૌ સૌના પાત્ર બરોબર નિભાવ્યા જ છે.

હવે હિન્દી ફિલમ હોય એટલે નાચગાન તો રહેવાના જ. એમાં કાઈ બહુ વાંધો કાઢવા જેવું છે નહિ. ભવ્યાતિભવ્ય સેટ માટે તો સંજયલીલાને કશું કહેવું જ નો પડે. અસલ શનિવાર વાડો કે મસ્તાની મહેલ પણ આટલો ભવ્ય નહિ હોય.

બાજીરાવ એક વોર હીરો મુખ્ય હતા, અને વીર યોદ્ધાનાં ચરણોમાં સૌંદર્ય ઢળી ના પડે તો તે વીર શાનો? વીરો એક જ સ્ત્રીના મોહપાશમાં બંધાયેલા રહે તે માન્યતા જ ખોટી છે અને એ માન્યતા ખોટી હોવામાં એમના પ્રેમમાં પડી જતી અનેક સ્ત્રીઓનો બહુ મોટો હાથ છે. રણમેદાનમાં ઘોડા પર મારમાર કરતી સબોસબ તલવાર વિંઝતી રૂપાળી રમણી જોઈ કયો વીર પુરુષ એના પર મોહિત ના થાય? સૌંદર્ય અને વીરતા હમેશાં એકબીજાના પ્રેમમાં પડી જતાં હોય છે. સૌંદર્ય વીરતાની કમજોરી છે તો વીરતા સૌંદર્યની.

બાજીરાવે દખ્ખણમાં નિઝામ, ઉત્તરમાં મુઘલો સાથે માળવા, ગુજરાત, રાજસ્થાન બધા સર કર્યા હતા અને અનેક રાજાઓ સાથે સંધિઓ કરી ચોથ ઉઘરાવી લેવાના કરાર કર્યા હતા. બાજીરાવ એકલા યોદ્ધા નહોતા કુશળ રાજકર્તા અને મિત્ર રાજાઓ સાથે સારા સંબંધ રાખનાર અણીના સમયે મદદ કરનાર પણ હતા. યુદ્ધમાં હિંસા તો કરવી પડતી હોય છે, પણ ચંઘેઝ, તૈમુર, નાદિર અને હિટલર જેવા અનેક શાસકો ક્રૂર હત્યારા સાબિત થયા છે જ્યારે સિકંદર, નેપોલિયન અને બાજીરાવ જેવા વીરોને હજુ ય લોકો યાદ કરે છે. બાજીરાવની જેમ ગુરુ ગોવિંદસિંહ પણ વીર યોદ્ધા હતાં. એમના ટોટલ ચાલીસ વર્ષના જીવનકાળમાં ૨૦ વર્ષ કારકિર્દીના ગણીએ તો તેઓ પણ ૨૦ મોટા બેટલ લડેલા. સરેરાશ દર વર્ષે એક યુદ્ધ. બાજીરાવ દર છ મહીને એક યુદ્ધ લડેલા. બંનેનો જીવનકાળ આશરે ફક્ત ૪૦ વર્ષનો. મને લાગે છે યુદ્ધનો અતિશય સ્ટ્રેસ એમના ઓછા આયુષ્ય માટે કારણભૂત હોઈ શકે. જો કે ગુરુ ગોવિંદસિંહ ઉપર તો બે પઠાનોએ જીવલેણ હુમલો તેઓ આરામ કરતા હતા ને કરેલો. બાબુ મોશાય જીંદગી લંબી નહિ બડી હોની ચાહીએ. બાજીરાવ લાંબું જીવ્યા હોત તો અંગ્રેજોનો ગજ કદાચ વાગ્યો ના હોત. બાજીરાવે પોર્ટુગીઝોને પણ ભગાડેલા.

એક દૂરંદેશી સફળતમ યોદ્ધાનો જીવનકાળ ટૂંકો રહ્યો તે ભારત માટે અને ભારતની પ્રજા માટે બહુ મોટી કમનસીબી હતી, અને આ વિચાર સાથે બાજીરાવના મૃત્યુના દ્રશ્યો ફિલ્મમાં જોતા મારું હૃદય દ્રવી ઉઠેલું. તો ફિલ્મ પૂરી થઈ જાય અને ઘણીવાર તો પૂરી પણ ના થઈ હોય ને લોકો ઊભા થઈને ભાગવા માંડતા હોય છે. અહિ ફિલ્મ પૂરી થઈ ગઈ હતી પણ આખું થિયેટર સ્તબ્ધ હતું કોઈ ઉભું થવાનું નામ નહોતું લેતું જાણે હજુ કશું બાકી છે સંજયલીલા ભણશાળી હજુ વધુ બતાવો. આપણે યુદ્ધ પ્રિય પ્રજા નથી બાકી હું સંજયલીલાને કહેત કે બાજીરાવ ઉપર એક ટોટલ વોર મુવી બનાવો અને દુનિયાનાં ફિલ્મ ઉદ્યોગ પર છવાઈ જાઓ તમારામાં એ ક્ષમતા છે. છેવટે સખત કોમવાદમાં અને નબળા રાષ્ટ્રવાદમાં જીવતી પ્રજાની કમનસીબી પર ભારતના અજેય યોદ્ધા બાજીરાવના અકાલ મોતનાં દ્રશ્યો જોતા આંખો ભીની હતી અને હું સૌ પ્રથમ ઊભો થયો થિયેટર બહાર જવા માટે.baji-rao-video-647_121015095832

 

 

વરસાદ, વહુ અને જશોદાપતિ ને જશ નહિ

Indian women walk in the rain during a sudden downpour in Hyderabad, India, Wednesday, June 13, 2007. Severe monsoon weather which devastated Bangladesh extended its grip over South Asia on Wednesday, killing a dozen people and disrupting transport in eastern India, according to a news report. (AP Photo/Mahesh Kumar A)

ગામડામાં એક કહેવત હોય છે કે વરસાદ અને વહુ ને જશ નહિ. વરસાદ ચોમાસામાં ના આવે સમયસર; તો લોકો ગાળો દે, કે કેટલી બધી ગરમી છે પણ વરસાદ આવતો નથી. વહેલો આવી જાય તો પણ લોકો ગાળો દેવાના, કે ઉનાળુ બાજરીનો પાક ઊભો છે તે બગડશે. જોરદાર ઝાપટા પડે તો પણ નકામો છે, પુર આવી જાય. ધીમે ધીમે ઝરમર ઝરમર પડે તો પણ કહેશે કાદવ થાય છે. ખેંચાઈ જાય તો કહેશે પાક સુકાઈ ચાલ્યો ક્યારે આવશે? શિયાળામાં આવે તો ખલાસ બહુ ગાળો ખાવાનો. અમારે અહીં તો બારેમાસ આવતો હોય છે. અહીં ચોમાસા જેવી કોઈ સ્પેશલ ઋતુ નથી. સહેજ વાતાવરણ ગરમ થયું કે વરસાદની પધરામણી થઈ જાય. જોકે આપણે ત્યાં દેશમાં વરસાદમાં નહાઈએ છીએ એવું અહિ ના કરાય કારણ અહિ વરસાદી પાણી બહુ ઠંડું હોય છે.

વહુને પણ એવું જ હોય છે, ગમે તેટલું કામ કરે કોઈ જશ મળે નહિ. અહિ વાતે વાતે થેંક યુ કહેવાનો અને એપ્રિસિયેટ કરવાનો રિવાજ છે તેવો આપણે ત્યાં નથી. થેન્ક્સ તો નૉર્મલ થઈ ગયું છે કહેવાનું પણ જરાક વધુ કશું કરી આપો તરત એપ્રિસિયેટેડ બોલ્યા વગર ના રહે. આપણે ત્યાં તો જશને માથે જૂતિયાં તો નહિ મારે ને એની ચિંતા પહેલી હોય છે, એટલે એવા જૂતા ના મારે તેનો જ ઉપકાર કે આભાર માનવો વધુ સારો. સાસબહુ વિષે બહુ લખવું નથી. કારણ સાસ ભી કભી બહુ થી સસરાજીકે સાથ ઘૂમને જાતી થી.

એવું અમારા નરેનબાબુનું પણ છે. એમના નસીબમાં પણ જશ નથી. ગમે તેટલું કામ કરે કોઈ જશ આપે નહિ. સાચા અર્થમાં ‘ચરૈવેતિ ચરૈવેતિ’ મંત્રનું પાલન કરતા હોય તો આપણા નરેનબાબુ જ છે. ચાલતા રહો, ચાલતા રહો, ચાલે તેનું નસીબ ચાલે, ચાલે તેને મધ મળે, મધ મળે તો સ્ત્રી મળે. જો કે ચાલતા રહેવા માટે એમણે સ્ત્રી છોડી દીધી તે વાત અલગ છે. બચાડીને નાહક ક્યાં તકલીફ આપવી? અને પાછું બાજુમાં ચાલતી હોય ને આજુબાજુ જોવાઈ જાય તો તરત બૂમ પાડે કે ક્યાં ડાફોળિયાં મારો છો? સ્વાનુભવ છે. ચા બનાવતા, વેચતા અને વહેંચતા લાખો કરોડો ભારતીયોમાં વડાપ્રધાન બનવાની આશા જગાવનાર જો કોઈ વિરલ મહાપુરુષ હોય તો તે આપણા નરેનબાબુ છે. એમાં કશું ખોટું પણ નથી.

અમેરિકામાં રોજ રાત્રે ત્રણ ટીવી ચેનલ્સ પર પ્રમુખની કલાઈ કરાતી હોય છે. કલાઈ એટલે પિત્તળના વાસણોને કરાતી કલાઈ નહિ પણ ઠેકડી ઉડાવવાનાં સંદર્ભમાં સમજવું. અને એવી ઠેકડી ઉડાવનારા કોઈ પ્રમુખના વિરોધી હોય એવું જરાય નથી હોતું. ઉલટાના પ્રસંશકો પણ હોઈ શકે. જો કે આપણી પ્રજા જરા હ્યુમરની ઔરંગઝેબ વધુ છે. એટલે આપણે કોઈની ઉડાવીએ તો તરત એના વિરોધી સમજી લેવાની શક્યતા વધુ હોય છે. અને ઘણીવાર પોતે મજાક કરે તો ચાલે પણ બીજો કોઈ કરે તો ખલાસ એવું પણ જોવા મળતું હોય છે.

હું રહું છું તે સમિત પોઇન્ટ અપાટર્મન્ટ બહુ મોટું સંકુલ છે. આપણા બહુ બધા ગુજરાતીઓ અહિ વસે છે. ડુંગરની ધાર ઉપર સરસ મજાના અપાટર્મન્ટ બાંધેલા છે. ધોળિયા તો એના પાર્કમાં બેસવા બહુ નવરા હોતા નથી પણ અમે બધા ત્યાં બેસતા હોઈએ છીએ. ધોળીયા કાનમાં વાયરો લબડાવી દોડવામાં વધારે મશગૂલ હોય છે જ્યારે આપણ ગુજરાતીઓ ચોરે બેસી મતલબ પાર્કમાં બેસી આખી દુનિયાની, ખાસ તો ભારતની ફિકર ચિંતા કરવામાં મશગૂલ હોઈએ છીએ.

ચર્ચા ચોરે આવતાં રમાબેન બહુ બોલકા છે. ચુટણી ટાણે નરેનબાબુની ધર્મપત્નીનું પ્રકરણ ચગ્યું ત્યારે સ્વાભાવિક સ્ત્રી સ્ત્રીનો જ પક્ષ ખેંચે. ત્યારે રમાબેન મજાકમાં બોલતાં કે એક મૂઠી સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો નરેનબાબુઉઉઉ. હુ ત્યારે સુધારતો કે મૂઠી નહિ ચપટી કહો, મૂઠી ભરીને સિંદૂર તો આખું માથુ બગાડશે. રમાબેનનો પ્રૉબ્લેમ એ કે એમને ઓછુ ગમે નહિ, દરેક વાત વધારી અને વઘારીને કહેવાની આદત. વૉલ્માર્ટ્માંથી પાંચ ડોલરની વસ્તુ લાવ્યા હોય પણ કહેવાનાં મેસિઝ્માંથી પચાસની લાવ્યાં છે. ઘણીવાર તો એમના ઘેર શનિવારે સત્યનારાયણની કથા રાખી હોય તો શુક્રવારે મોંઘા સ્ટોરમાંથી કપડાં વગેરે લઈ આવે, ઘેર કથા નિમિત્તે આવેલા મહેમાનોને ગર્વથી બધું બતાવે વાહ વાહી મળેવી રવિવારે પાછું સ્ટોરમાં પરત. ઘણીવાર તો લેબલ સંતાડી મોંઘો ડ્રેસ પહેરીને કોઈ પ્રસંગ માણી પણ આવે અને હવે પ્રસંગ તો પતી ગયો રાખીને શું કરવાનું કહી પાછું આપી આવે. એટલે એમની વધારી વધારીને કહેવાની આદત ચપટીને બદલે મુઠ્ઠી સિંદૂર બોલાવડાવી દે. પાછું હિન્દીમાં પણ ચપટી જ બોલે મેં કહ્યું હિન્દીમાં બોલો તો ચુટકી બોલો તો કહે તમને વાંધા પાડવાની આદત છે ભૂપેનબાબુઊઊઊ..

આજે એમને નરેનબાબુ પર પ્રેમ ઉભરાઈ આવ્યો તો કહે, ‘નરેનબાબુ ચાર વાર કપડાં બદલે એમાં તમને શું વાંધો પડ્યો? અમે સ્ત્રીઓ લગ્નમાં પ્રસંગે પ્રસંગે કપડાં નથી બદલાતી?’

મેં કહ્યું, ‘મને કોઈ વાંધો નથી, હું તો મજાક કરતો હોઉં છું, પણ નરેનબાબુ કોઈ સ્ત્રી નથી. ખરેખર તો આજ સુધી આવતા ધોતિયા દાસો મને ગમતા નહોતા. ચાર ચાર નંબર વન કંપનીઓમાં જવાનું હોય તો કપડાં તો સારા પહેરવા જ પડે ને?’

ચર્ચા ચોરે આવતા વિષ્ણુભાઈ કહે, ‘નરેનબાબુ એમની માતાને યાદ કરી જરા રડ્યા એમાં રાજકારણ ચાલુ થઈ ગયું છે, કોઈ કહે છે ડ્રામા કરે છે, કોઈ કહે છે અભિનય કરે છે, તો વળી કોઈ ભવાયો પણ કહે છે.’

તો વિનુકાકા કહે, ‘અભિનય રાજકારણનું અભિન્ન અંગ છે, નેતાઓ બહુ સારા અભિનેતાઓ હોય છે એમાં કોઈ શક નહિ, અભિનય કર્યા વગર રાજકારણમાં ચાલે નહિ. અને નરેનબાબુ મહાન અભિનેતા છે તે હકીકત છે.’

અમારા ચર્ચા ચોરામાં એકબીજાના મત વિરુદ્ધ મત આપવાની છૂટ છે. કોઈ એને અંગત લે નહિ. બીજા દિવસે બધાં ફરી આનંદથી મળે અને વાતો કરે.

વિષ્ણુભાઈ કહે, ‘માતાને યાદ કરીને કોણ નહિ રડતું હોય? એમાં તો પટાબાજી ખેલાવા માંડી.’

રમાબેન ઉવાચ, ‘પટાબાજી કે પાટાબાજી?’

વાસ્તવમાં એમને પટાબાજીની ખબર જ નહોતી. મેં કહ્યું. ‘પાટા નહિ પટાબાજી, એનો મતલબ એ થાય કે યુદ્ધમાં તલવાર વપરાય છે તેમ પટા નામનું તલવાર જેવું શસ્ત્ર પણ તલવાર કરતા લાંબુ હોય, પહેલાના જમાનામાં વપરાતું. તલવાર કડક હોય જ્યારે પટા લચીલું, નરમ ગમેતેમ વળી જાય તેવું અને એની ટોચ પકડીને એની મૂઠ સાથે વાળીને અડાડી શકાય અને છોડો એટલે પાછું હતું તેવું ને તેવું. ટૂંકમાં એની બ્લેડ જેમ વાળો તેમ વળી જાય માટે એને ચલાવવામાં બહુ સારું કૌશલ્ય જોઈએ જેમ રાજકારણમાં જોઈએ છે તેમ.’

વિષ્ણુભાઈ ઉવાચ, ‘એમાં તો બાપુને બગડવું પડ્યું.’

રમાબેન ઉવાચ, ‘બાપુ? કોણ બાપુ? અને બગડ્યા એટલે?’

મેં કહ્યું, ‘બાપુ બગડ્યા એટલે અથાણું બગડે તેનું વરસ બગડે તેમ નહિ કે દાળ બગડે તેનો દાડો બગડે તેમ નહિ, પણ બાપુ બગડ્યા એટલે ગુસ્સે થયા અને બાપુ એટલે મુરારીબાપુની વાત છે. મોરારીબાપુએ વિરોધ પક્ષોની ઝાટકણી કાઢી. કે કોઈ એની માતાને યાદ કરીને રડે એમાં શું રાજકારણ રમવાનું? આપણે બધા સંવેદનહીન થઈ ગયા છીએ. વધુમાં બાપુએ કેમેરા સામે જોઇને કહી દીધું કે મારું આ રેકોર્ડીંગ સાંભળજો બધા.

વિનુકાકા વદતિ, ‘એવું કહીને કે મારું રેકોર્ડીંગ બધા સાંભળજો મતલબ ટીવી પર આ સમાચાર આવવા જોઈએ રાષ્ટ્રીય ચેનલો પર, એવું બાપુએ પાકું કરી લીધું.’

રાજુભાઈ બહુ ઓછું બોલતા હોય પણ બોલે ત્યારે જબરું બોલી નાખે. રાજુભાઈ કહે, ‘મેં આખી વાર્તા ટીવી પર જોઈ હતી. પરીક્ષાનું પેપર અગાઉથી સેટ હોય તેમ માતા વિષે સવાલ પૂછવામાં આવ્યો હોય એવું લાગ્યું. અને નરેનબાબુ જવાબ આપતા અટકી ગયા તો મને લાગ્યું કે આ કોઈ નવી સ્ટાઈલ હશે, પણ અટકવાનું જરા લાંબુ ખેંચાઈ ગયું હોય એવું લાગ્યું, જાણે ઓવર એક્ટિંગ, પછી સમાચારપત્રો દ્વારા જાણ્યું કે ડૂમો ભરાઈ ગયેલો, પછી જાણે સંગીતના જાણકાર હોય તેમ નીચા સૂર પછી મધ્યમ અને પછી નોર્મલ. ડૂમો ક્યારે ભરવો અને ક્યારે ખાલી કરવો એમાં મહારત લાગી.’

મેં કહ્યું, ‘તમે પણ એક માતૃપ્રેમીની અવહેલના કરો છો. મોરારીબાપુ અમસ્તા ગુસ્સે નથી થતા.’

રાજુભાઈ કહે, ‘માતા પારકા ઘેર કામ કરવા જતી હતી તો પુત્ર તરીકે કમાઈને તે કામ છોડાવી કેમ ના દીધા? માતાની સેવા કરવાનું બીજા ભાઈઓને માથે નાખી ઘર છોડી ભાગ્યા શું કામ?

વિષ્ણુભાઈ કહે, ‘ભારતમાતાની સેવા કાજે માતા છોડવી પડી, ઘર છોડ્યું એ કાઈ નાનીસુની વાત નથી.’

મેં કહ્યું, ‘ઘર તો ઠીક ગુજરાત પણ છોડ્યું.’

બધા હસી પડ્યા અને ઊભા થઈ એકબીજાને ‘સી યા મોરો’ કહી છુટા પડ્યા. અલ્યા તમને બધું સમજાવવું પડે? સી યા મોરો એટલે see you tomorrow.

ખરેખર વરસાદ, વહુ અને જશોદાપતિ ને જશ મળવો મૂશ્કેલ જ છે.

“ચલમનો ભડકો”

Indian Sadhu smoking weed“ચલમનો ભડકો”

રામખિલાવન મહારાજની ગાંજો પીવાની શૈલી અદ્ભુત હતી. ઊભી ચલમ મુખના એક ખૂણે લગાવીને સતત ગાંજાના કસ ખેંચતા રહેતા, હોઠના ખૂણે થી ધુમાડાના ગોટે ગોટ નીકળતા રહેતા.એક શ્વાસે કસ ખેંચતા  ખેંચતા ચલમ ઉપર ભડકો થઈ જાય ત્યારે કસ ખેંચવાનું બંધ કરી, મીનીટો સુધી મુખમાંથી ધુમાડા કાઢે જતા. જોઇને આજુબાજુ બેઠેલા ભાવિક ભક્તો અહોભાવથી મંત્ર મુગ્ધ થઈ જતા. ઈડર પાસેના એક અંતરિયાળ ગામની સીમમાં જશુભાઈનું બાપીકું ખેતર હતું. ખેતરમાં એક કૂવો હતો. એમાંથી પાણી ખેંચવા એક ઇલેક્ટ્રિક મોટર મૂકેલી તેને સાચવવા ઓરડી બનાવેલી હતી. બાજુમાં એક નાનું  લીમડાનું વૃક્ષ હતું. રામખિલાવન મહારાજ આ લીમડા નીચે ક્યારે અવતર્યા કોઈને ખાસ ખબર નહોતી. આ વિસ્તારમાં ચોમાસામાં ખેતી થતી. શિયાળામાં ક્યારેક કૂવામાં પાણી સારું હોય તો થોડા ખાવા જેટલા ઘઉં પકવી લેવાતા. ઉનાળો સાવ સુક્કો ભંઠ પસાર થતો. કાળી પણ કાંકરાવાળી જમીનમાં કપાસ સારો થતો. ચોમાસામાં કઠોળ પણ સારું થતું. ઉનાળામાં કશું કામ નહિ હોય તો જશુભાઈ એકાદ અઠવાડિયું ખેતરમાં આવેલા નહિ. જ્યારે આવ્યા ત્યારે રામખિલાવન અહી લીમડા નીચે  બેઠાં બેઠાં ચલમના કસ ખેંચતા હતા. આધેડ ઉંમર, પાતળી ઊંચી દેહયષ્ટિ, કાબરચીતરી દાઢી, માથે એવી જ અંબોડી વાળેલી જટા, કાળો વાન. પહેલી નજરે બાવો આંખોને ગમે તેવો હતો નહિ. જશુભાઈ પણ વિચારતા હતા કે આ લપ અહી ક્યાં પેઠું? પણ મૂળ ધાર્મિક માણસ અને પહેરવેશનું માન જાળવવા રામ રામ બાપજી કર્યા. સામેથી પણ જવાબ મળ્યો જય રામજીકી.

‘બાપજી ક્યાંથી પધારવાનું થયું?’

‘સબ ભૂમિ ગોપાલકી,હમારે લિયે સબ જગા ભગવાનકી હૈ.’

‘બાપજી, હું તો ચાર દિવસથી આવ્યો નહોતો, આજે જ આવ્યો છું, ભોજન વગેરેનું શું કર્યું?’

‘રામ ખિલાવે તો ખાના વરનાં ઉપવાસ સમજી લેવાના. મેરા તો નામ હી રામખિલાવન હૈ.’

 

બાપજી હિન્દી મિશ્રિત ગુજરાતી બોલતા હતા. જશુભાઈને દયા આવી કે બાપજી મારા ખેતરમાં ભૂખ્યા બેઠાં છે, સારું ના કહેવાય. જો કે ગામ થી ખેતર ઘણું દૂર હતું પણ થાય શું? જશુભાઈ મારતે ઘોડે ઘેર ગયા. ભોજન લઈને પાછાં આવ્યા. ભોજન પતાવી આશીર્વાદ આપી મહારાજે ચલમ ભરી થોડા કસ ખેંચીને જશુભાઈને ધરી દીધી. જશુભાઈ આમેય બીડીના કસ તો ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય ગણાતા વ્યસનથી ટેવાયેલા હોઈ ખેંચતાં રહેતા. મહારાજની ચલમમાં કઈ જુદોજ આનંદ હતો. બસ લાગ જોઇને મહારાજે કહી દીધું કે બચ્ચા થોડે દિન યહી રહેના હૈ, બાદમે ચલા જાઉંગા. જશુભાઈએ સંમતિ આપી દીધી કે અપાઈ ગઈ કશું એમને જ સમજાયું નહિ. રાત્રે ઓરડીમાં સુવાની વ્યવસ્થા થઈ ગઈ. આખો દિવસ મહારાજ રામચરિતમાનસની ચોપાઈ ગાયા  કરતા, અને ચલમ ખેંચે રાખતા. જશુભાઈ પણ હવે નિયમિત આવતા થઈ ગયેલા. ભોજન પણ લેતા આવતા. આમેય હવે ઉનાળો પૂરો થવા આવેલો. કપાસ વાવવાની તૈયારી કરવાની હતી. દર ઉનાળે બોરડીના જાળાં આખા ખેતરમાં વધી જતાં. તેમને ખોદીને દુર કરવા પડતા. ખેતરમાં કામ હતું એટલે નિયમિત સવાર સાંજ આવવું પડતું. ઘણી વાર ગામથી ખેતર દૂર હોવાના કારણે સવારે આવતા તો સાંજે જ જતાં. કોઈ વાર અંધારું  પણ થઈ જતું. એવે ટાણે બપોરે જશુભાઈની દીકરી મંજુલા બપોરનું ભાતું લઈ આવતી.

 

સોળ વરસની મંજુલા ભણવામાં કઈ ઉકાળી શકેલી નહિ. એસ.એસ.સી.માં નાપાસ થવાથી સ્કૂલમાંથી ઉઠાડી  મૂકેલી. ખેતરમાં અને ઘરકામમાં મદદ કરતી. કોઈ સારો વર મળી જાય તો પરણાવી ઠેકાણે પાડી દેવી એવું વિચારતા હતા. મંજુલા બહુ દેખાવડી તો નહોતી શરીરે પણ દૂબળી પાતળી હતી.
રામખિલાવન મહારાજ ધીમે ધીમે અહીં જામી પડ્યા હતા. જશુભાઈ એમના ભક્ત બની ગયેલા. હવે બાપજીની ચલમ વગર ચાલતું નહોતું. એક અલગ ઓરડી પણ એમની બની ગઈ હતી. એના ઉપર ધજા પણ લાગી ગયેલી. ભક્તો પણ વધવા લાગેલા. મહારાજ સુંદર રીતે ચોપાઈ ગાતા, ધર્મ ધ્યાનની વાતો કરતા. કોઈના દુખ નિવારણ માટે પ્રયત્નો પણ કરતા. નાના મોટા આશીર્વાદ આપવાનું સામાન્ય હતું. એમાં અકસ્માતે કોઈનું કામ થઈ જતું તો એને બહેલાવી બહેલાવીને કહેવામાં આવતું. ભક્તોને ખાસ તો બાપુની ચલમ ફરતી ફરતી એમની પાસે ક્યારે આવે તેનું ખાસ ધ્યાન રહેતું. ઓરડી નાની પડતા બીજી મોટી ઓરડી પણ ચણાઈ ગઈ અને એની ઉપર “રામખિલાવન આશ્રમ” પણ લખાઈ ગયું. નવી ઓરડી વળી ભોંયરાની  સગવડવાળી બની ગઈ હતી. બાપજી સવારે ભોંયરામાં સાધના કરતા. ભોંયરામાં કોઈને પ્રવેશ નહોતો, ખાલી જશુભાઈ જઈ શકતા અને દીકરી મંજુલા સાફસફાઈ કરવા જતી. કોઈવાર આ લોકોના દેખાતા ઉટપટાંગ આસનો કરતા. જશુભાઈ પૂછે કુતૂહલ વશ થઈને તો કહેતા કે યોગ કરતા હું, ધ્યાન કરતા હું, સાધના કરતા હું. ભગવાન કે સાથ તાર જોડા રહા હું.
જશુભાઈને ઓણસાલ વરસાદ સારો થવાથી કપાસ તો સારો થયેલો, પણ શિયાળામાં કૂવામાં પાણી પણ સારું ચાલ્યું. એના કારણે ઘઉં અને થોડી વરિયાળી પણ સારી થઈ. બધું બાપજીની સેવાને કારણે થયું એવું મન માનવા લાગેલું. બાપજીની ચલમ પીવાની અદ્ભુત આવડતથી  જશુભાઈ સંમોહિત હતા. એમના જેવો ચલમ ઉપર  ભડકો કોઈ કરી શકતું નહિ. જો કે તમાકુમાં ચરસ અને ગાંજો ઉમેરાતો તેનાથી બધાને એમની ચલમનું   વ્યસન થઈ ગયેલું. હવે બાપજીની ચલમ મફત ના પિવાય તેથી પૈસા પણ લોકો દાન તરીકે આપતા. રાત્રે શંકાસ્પદ માણસો આવતા. અને બાપજી જોડે ભોંયરામાં મંત્રણાઓ કરી ચાલ્યા જતાં. કોઈવાર રાતવાસો કરવા આવતા જશુભાઈને બાપજી ખુલાસો કરી લેતા કે મેરે ભક્તજન હૈ, દૂરસે આતે હૈ. ધીમે ધીમે જશુભાઈએ પણ રાતવાસો  કાયમનો કરી નાખેલો, એનું મૂળ પેલી ચલમ હતી. જશુભાઈને પણ ખબર તો પડી ગયેલી કે ચલમમાં ગાંજો હોય છે પણ હવે એનાથી છૂટવું નહોતું. આખો દિવસ ચમત્કારની વાતોમાં જશુભાઈ રમમાણ રહેતા, અનાયાસે બાપજીના એજન્ટ બની ચૂક્યા હતા.
બાપજી કહેતા કે દેખ જશું થોડે દિનમેં યહાં તેરે ખેતમે પ્લેન ઉતરેંગે. બહોત બડે નેતા લોગ આયેંગે. જશુભાઈ અહોભાવથી જોઈ રહેતા. બાપજી ફેંકવામાં નંબર એક હતા. જશુભાઈ અહોભાવથી મોહિત બની રહેવામાં નંબર એક હતા. એકવાર બાપજીએ જશુભાઈને કહ્યું અબ મંજુલા બેટીકો હમ યોગ શીખાના માંગતા હૈ. દેખના લોગ તેરી બેટીકે પાવ પડેંગે. મુજે ઉસકા ભવિષ્ય બહોત ઉજ્જવળ દેખાઈ દેતા હૈ. લોગ ઉસે ગુરુમાઈ કહેકર પુકારેંગે. જશુભાઈ તો ખુશ થઈ ગયા. મારા અહોભાગ્ય કે મારા ઘેર આવી દીકરી અવતરી. પહેલા તો અભાગણી  કહેતા હતા. મંજુલાએ શરૂમાં તો કઈ શીખવું નથી કહી ના પાડી. પિતાનો આદેશ અને મંજુલા ભોયરામાં યોગના આસનો શીખવા લાગી. દીકરી વહેલી સવારે આઠ વાગે ખેતરમાં હાજર થઈ જતી. શરૂમાં પિતાના દેખાતા બાપજી આસનો શીખવતા. પછી ધીમે ધીમે જશુભાઈને બંધ કર્યા કે હવે આગળની સાધનામાં કોઈની હાજરીથી વિક્ષેપ પડે. કલાક પછી બાપજી ઉપર આવી જતાં અને જશુભાઈને કહેતા જાવ બેટીકા દર્શન કરકે આવ કૈસા ધ્યાન લગ ગયા હૈ? ભગવાનકે સાથ તાર જૂડ ગયા હૈ. અવાજ મત કરના. જશુભાઈ નીચે જઈ આંખો બંધ કરી પદ્માસનમાં બેઠેલી બાપજીએ બુઝાવેલી આગ અને પ્રાપ્ત ચરમસીમાને લીધે એકદમ શાંત સમાધિસ્થ બેટીને પગે લાગી આવી જતાં. અહોભાવમાં વધારો થઈ જતો.
જેમ જેમ મંજુલાની સાધના આગળ વધતી જતી હતી તેમ એનું રૂપ ખીલવા માંડ્યું હતું. શરીર પણ ભરાવા માંડ્યું હતું. મંજુલા હવે શરીરનું ધ્યાન વધારે રાખતી થઈ ગઈ હતી. હોઠ પર લાલી પણ લગાવતી થઈ ગઈ હતી. જશુભાઈ વિરોધ કરતા તો બાપજી રોકતાં બચ્ચીકો મત દાટો સાક્ષાત્ જોગમાયા દીખતી હૈ. બાપજી આગળ જશુભાઈનું  કશું ના ચાલતું. પાછું સવારે સાધના પછી જશુભાઈ ધ્યાન મગ્ન દીકરીને પગે લાગી આવતા એટલે તે જે કરે બધું યોગ્ય લાગતું. સવારે હવે સાધનાનો દોર ભોંયરામાં લંબાએ જતો હતો.. ઉપર આવીને બાપજી ચા પાણી કરતા. જશુભાઈ બધું તૈયાર રાખતા હતા. બાપજીની કાબરચીતરી મૂછોને લાગેલો લાલ લીપ્સ્ટીકનો રંગ ચામાં ઓગળવા પ્રયત્ન કરતો, રકાબીમાં રેડેલી ચામાં આડા અવળા રેલાઈ જતા લાલ રંગના દોરા જોઈ બાપજી ફરી ઉત્તેજિત થઈ જતા પણ જશુભાઈને એ રંગ ક્યાંથી દેખાય? સીધા દોટ મૂકીને ધ્યાનસ્થ દીકરીને પગે લાગવા દોડી જતાં.
વરસ પછી આજે આશ્રમ ઉજ્જડ છે. રાજયોગ કે કામયોગ? એવું વિચારતું સાક્ષી એવું ભોંયરું ખાલી પડી રહ્યું છે. ”રામખિલાવન આશ્રમ” લખેલા પર કાળો કૂચડો ફેરવાય ગયો છે. જશુભાઈ વિલા મોઢે, આંખના ખૂણે એક અશ્રુ બિંદુ જાળવી એકલાં લીમડા નીચે બેઠાં હોય છે, જ્યાં પહેલીવાર બાપજી અવતરેલા. વહાલસોઈ દીકરી માટે હવે વર શોધવાની પળોજણ રહી નહોતી, બંને અદ્રશ્ય થઈ ચુક્યા હતા.

 

બાપજી એક શ્વાસે જે ચલમ ખેંચતાં ઉપર ભડકો થઈ જતો તે જોઈ જશુભાઈ સહીત અનેક ભક્તોની આંખોમાં અહોભાવ છલકાઈ જતો.

 

રામખિલાવન મહારાજની ગાંજો પીવાની શૈલી અદ્ભુત હતી.
નોંધ:-મિત્રો સત્યઘટના ઉપર આધારિત વાર્તા છે.

 

રાઓલ ભૂપેન્દ્રસિંહ આર.

એડીસન…

પ્રતિબુદ્ધિવાદ, anti-intellectualism

105228Image1પ્રતિબુદ્ધિવાદ, anti-intellectualism

વિજ્ઞાન ભણવું અને વૈજ્ઞાનિક અભિગમ રાખવો બંને ભિન્ન છે. આપણા વૈજ્ઞાનિકોમાં પણ વૈજ્ઞાનિક અભિગમ હોતો નથી. એટલે એજ્યુકેશન અને વૈજ્ઞાનિક અભિગમ અને રેશનલ અભિગમને કશું લાગેવળગે નહિ. પણ જે દેશોમાં એજ્યુકેશન સાથે વૈજ્ઞાનિક અને રેશનલ અભિગમ છે ત્યાં ધર્મ ચોક્કસ નબળો પડ્યો છે જેવા કે સ્કેન્ડીવિયન દેશો. હિન્દુત્વ જીવન જીવવાની એક રીત એક તરીકો છે તેના બદલે આપણે ધર્મ માની બેઠાં છીએ. મને હિંદુ નિરીશ્વરવાદી કે હિંદુ નાસ્તિક તરીકે ઓળખાવતા જરાય શરમ આવતી નથી. કારણ મારા પૂર્વજ હિંદુ મનીષીઓએ જ દુનિયાને નિરીશ્વરવાદ અને રેશનાલીઝમ શીખવ્યું છે. આપણે ત્યાં લગભગ એન્ટી-ઈન્ટેલેકચ્યુઆલીઝમ ચાલે છે, પ્રતિબુદ્ધિવાદ. બુદ્ધિવાદી હોવું આજના ભારતમાં ગાળ સમાન છે. આપણા લેખકો, કવિઓ, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, શિક્ષકો, શિક્ષણશાસ્ત્રીઓ એવા અનેક કહેવાતા ઈન્ટેલેકચ્યુઅલ ખરેખર એન્ટી-ઈન્ટેલેકચ્યુઆલીઝમમાં માનતા છે. એ આ દેશની બહુ મોટી કમનસીબી છે. આપણે ત્યાં વેદો માન્ય દર્શન શાસ્ત્રોની છ સ્કૂલ હતી. સાંખ્ય જે નિરીશ્વરવાદી હતું, યોગ, વૈશેષિક, ન્યાય, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. ઉત્તર મીમાંસાથી ઈશ્વરભાઈ ઘૂસ્યા છે. કેટલા બુદ્ધિશાળી હતા એ લોકો? ઈશ્વરમાં નાં માનવું, ઈશ્વરનો ઇનકાર પણ વેદો માન્ય હોવાથી આસ્તિક કહેવાતા. કેટલી ઓપનનેસ હતી એ લોકોમાં?

અને આજે? તમે ઈશ્વરની કલ્પનામાં નાં માનતા હો તો તમને નાલાયક સમજવામાં આવે છે ભલે તમે નૈતિક હો. અને તમામ અનૈતિકતાઓ આચરતા હો પગની પાનીથી માથાની ચોટલી સુધી ભ્રષ્ટાચારી હો પણ કૃષ્ણને ભગવાન માનો તો તમે સારા છો. કૃષ્ણ મારે માટે એક મહા માનવ છે, ઈશ્વર થઈને જીવેલો માનવી છે. ભલે કૃષ્ણ માટે મને ખૂબ પ્રેમ હોય પણ જો હું કૃષ્ણને ભગવાન નાં માનું તો મૂર્ખાઓ મને પથ્થર લઈ મારવા દોડશે અને એવા લોકો જે કૃષ્ણ વિષે કશું જાણતા જ નથી.

મુસ્લિમ દેશોની તો વાત જ નાં કરશો. મુસ્લિમ દેશો તો લગભગ સંપૂર્ણપણે પ્રતિબુદ્ધિવાદ (એન્ટી-ઈન્ટેલેકચ્યુઆલીઝમ) તરફ ખેંચાયેલા જ છે. કાશ્મીરના અલગતાવાદી જુઓ. તાલીબાનો જુઓ. પેશાવરની સ્કૂલમાં હુમલો કરી નાના બાળકોને રહેંસી નાખ્યા. ISIS જુઓ, હવે તો આ લોકોએ નાના બાળકોની ત્રાસવાદી સેના બનાવી છે. એમના બ્રેનમાં બુદ્ધિ નામનું કોઈ તત્ત્વ બચપણ થી જ રહેવા દેવાનું નહિ. આ બાળકો પકડાયેલા સૈનિકનું માથું કાપતા જરાય કંપતા નથી. એકલાં ભારતમાં નહિ પણ અમેરિકામાં પણ આવું જ છે. અમેરિકાનો કોંગ્રેસમેન Congressman Paul Broun (R-Ga.)જે પોતે ડૉક્ટર છે, એમ. ડી. છે, વર્ષોથી ડૉક્ટર તરીકે પ્રેક્ટીશ કરે છે તે કહે છે, ‘ઉત્ક્રાંતિ, બીગ બેંગ બધું નરકના ખાડામાંથી આવેલુ જૂઠ છે.’ એના શબ્દોમાં “God’s word is true. I’ve come to understand that. All that stuff I was taught about evolution and embryology and the big bang theory, all that is lies straight from the pit of Hell.” આ ડૉક્ટરનું કહેવું છે બાયબલે કહ્યા પ્રમાણે છ દિવસમાં પૃથ્વીની રચના કરી છે. બીજા એક સેનેટ ઇન્વાયરમેન્ટલ પૅનલના ચેરમેન હાથમાં સ્નોબોલ લઈને ચેમ્બરમાં આવેલા અને કહે ક્લાઈમેટ ચેઇન્જ હોક્સ છે, મજાકમાં કરેલી છેતરપિંડી. આવા ભણેલા પણ ગણેલા નહિ એવા મોટા માથા અમેરિકામાં એન્ટી-ઈન્ટેલેકચ્યુઆલીઝમનાં પ્રણેતા છે. ત્રણમાંથી એક અમેરિકનને તેના વાઈસ પ્રેસિડન્ટનું નામ ખબર નથી.

આપણે જરા વિચારીએ તો કોમવાદ, ભડકાવનારી ધાર્મિકતા બધું નિરર્થક છે. પણ વિચારીએ તો ને? વિચારીએ જ નહિ તો પછી? એટલે જે લોકોને સામાન્ય પ્રજા ઉપર રાજ કરવા છે તે લોકો પહેલું તો પ્રજા વિચારે તે બંધ કરાવશે. કારણ તમે વિચારશો તો એમનું કહ્યું નહિ માનો. તમે દલીલો કરશો. તમે કારણ શોધશો. કાર્યકારણનો સંબંધ શોધશો. અને કોઈ કારણ જડે નહિ તો તમે એમની વાત કે આજ્ઞા માનવા ઇન્કાર કરશો. તો પછી એમના ધંધાનું શું? પણ આ પ્રતિબુદ્ધિવાદ એકંદરે સમગ્ર પ્રજાનો વિકાસ અટકાવશે. તે મૂરખ પ્રજાને ખબર હોતી નથી. જર્મનીમાં હિટલરે તે જ કરેલું. પ્રજાને hyper-patriotism નું અફીણ પિવડાવી દીધું. નાના બાળકો સહિત કાળજું કંપાવી દે, એક બે નહિ ૬૦ લાખ યહૂદીઓને જીવતા શેકી નાંખ્યાં. જો જરા એક બ્રેન ન્યુરોન્સ વાપરી વિચારો તો એક પણ માણસની હત્યા તમે કરી શકો નહિ.

જો તમે તમારા બ્રેન ન્યુરોન્સ વાપરી વિચારો તો એક કીડીને મારવામાં પણ તમને કોઈ તર્ક નહિ દેખાય. અને એવું વિચારવાની ક્ષમતા ધરાવનારને આપણે મહાવીર કહ્યા છે, બુદ્ધ કહ્યા છે. આપણે બધા Anti-intellectualism અને Iintellectualism વચ્ચે ઝોલા ખાતા હોઈએ છીએ. કારણ આપણું એનિમલ બ્રેન સર્વાઈવલ સિવાય બીજી કોઈ ભાષા જાણતું નથી. માટે તે પોતાના સર્વાઈવલ માટે કોઈની પણ હત્યા કરી શકે છે. તમે માની શકો એક માતા પોતાના સંતાનને મારી શકે? લાર્જ કોર્ટેક્સ, મોટા મગજ, વિચારશીલ બ્રેનમાં આ વાત ઊતરે નહિ. પણ બરોડાની પાસેના ગામમાં આવો બનાવ બનેલો જે સંદેશ છાપામાં આવેલો. એક માતાની એના પતિથી છાની એના પ્રેમી સાથેની કામલીલા એના સંતાન વડે અકસ્માતે જોવાઈ ગઈ. પકડાઈ જવાની બીકમાં માતાએ એના છોકરાના પગ પકડી રાખ્યા અને એના પ્રેમીએ પેલાં નાના છોકરાનું ગળું દબાવીને હત્યા કરી નાખી. આ હતું એનિમલ બ્રેન, નાનું મગજ, લિમ્બિક સિસ્ટિમ અથવા મેમલ બ્રેન, જે પોતાના સર્વાઈવલ માટે માતા-પિતા, ભાઈઓ-બહેનો કે સંતાનોની પણ હત્યા કરાવી શકે. મુગલ આજ કરતા હતા. જે બાપે જનમ આપ્યો હોય જે ભાઈઓ સાથે રમ્યા હોય તેની જ હત્યા કરતા. ઔરંગઝેબ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

અર્જુન શું હતો? Anti-intellectualism અને intellectualism વચ્ચે ઝોલા ખાતો હતો. સામે ભાઈઓ, ગુરુ, અને દાદા સહિત સગાઓ જ ઊભા હતા એમની સામે સર્વાઈવલ માટે લડવાનું હતું. એનું લાર્જ કોર્ટેક્સ નાં પાડતું હતું અને એનિમલ બ્રેન લડવા માટે ઉશ્કેરતું હતું. પણ એ વિચારશીલ વધુ હતો માટે કૃષ્ણ સામે દલીલો ઉપર દલીલો કરે રાખતો હતો. એક સમયે સગાઓને મારીને સર્વાઇવ થવા કરતા મોત પસંદ હતું એને. છેવટે રાબેતામુજબ કૃષ્ણે કહી દીધું મામેકં શરણં વ્રજ હું કહું તેમ કર, મારી શરણમાં આવી જા, શંકા કરીશ નહિ, નહિ તો તારો નાશ નક્કી છે. આજે પણ માબાપ સંતાનોને કહી દેતા હોય છે કહીએ તેમ કર બહુ ડાહ્યો થયા વગર. જે દાદાએ ખોળામાં રમાડ્યો હતો તેમની, જે ગુરુએ ભણાવ્યો હતો તેમની એવા તો બહુ બધાની હત્યા એણે કરી. એટલે તો મહાવીર જેવા intellectual ની સમજમાં આ વાત કદી ઊતરે નહિ. અર્જુનની જગ્યાએ મહાવીર હોત તો સામેથી કહી દેત મારે તસુભાર જમીન જોઈતી નથી હું તો આ ચાલ્યો વનમાં. અર્જુનને બુદ્ધિવાદ તરફથી પ્રતિબુદ્ધિવાદ તરફ ઘસડી જનારા કૃષ્ણ ભગવાન કહેવાયા. સર્વાઈવલ માટે ભલે જરૂરી હતું પણ ત્યારથી ભારત બુદ્ધિવાદનું પાકું વિરોધી બની ગયું હોય એવું લાગે છે.

જૂન ૧૭, ૨૦૧૫, Charleston, સાઉથ કેરોલીનામાં એક ચર્ચમાં આવા જ એક કોમવાદી અને રંગભેદીએ નવ લોકોને મારી નાખ્યા. રંગભેદ, કોમવાદ બુદ્ધિહીનતાનું પરિણામ છે. કહેવાતા ભણેલા ગણેલા લોકો પણ પ્રતિબુદ્ધિવાદી હોઈ શકે છે. દેશભક્તિ વખાણવા જેવી છે, પણ અંધ-દેશભક્તિ (hyper-patriotism) હું નથી માનતો કે વખાણવા લાયક હોય. કેટલાક અમેરિકનો અને મોટાભાગના કમજોર ભારતીયો બંને Hyper-patriotism થી પીડાય છે. જિંદગીમાં બંદુક પકડી નાં હોય એક સસલું એ માર્યું નાં હોય એવા ભારતીયો ખાસ દેશભક્તિ અને મારી નાખો કાપી નાખો ની વાતો કરતા હોય છે. ત્યારે મને હસવું આવે છે. મૂરખો લોહીની પિચકારી ઊડશે તો બેભાન થઈને ગબડી પડશો.. હહાહાહાહાહાહ

એક થડા(ગલ્લા) પર બેઠેલા વાણિયાની અહિંસા અને મહાવીરની અહિંસા વચ્ચે આભજમીનનો ફરક છે.

ટ્રેડિશનલ વેલ્યુસનાં વિરોધમાં ફૅક્ટ બેઝ સેક્સ એજ્યુકેશન આપવાનું ચૂકવાથી અમેરિકામાં ટીનેજરમાં પ્રેગનન્સીનું જોર ખૂબ વધ્યું છે. હું પહેલા પણ લખી ચૂક્યો છું. દુનિયાની બે સૌથી મોટી લોકશાહીઓ અમેરિકા અને ભારત બહુ ધાર્મિક છે. અને ધાર્મિક માન્યતાઓ ૯૦ થી ૯૯ ટકા ઇરેશનલ હોય છે, એમાં કોઈ બુદ્ધિ વાપરવાની હોતી નથી. ભણતર અને વૈજ્ઞાનિક સાક્ષરતાનો અંક અમેરિકામાં શરમજનક નીચો છે. તો ભારત અને મુસ્લિમ દેશોમાં તો વૈજ્ઞાનિક સાક્ષરતાનો અંક લગભગ ઝીરો છે. આપણા તો મિસાઇલ મેન તરીકે પ્રખ્યાત વૈજ્ઞાનિક આઠ ચોપડી ભણેલા પરમ મૂરખ સ્વામી પાછળ ગાંડા હોય. એવા વૈજ્ઞાનિકો દેશની યુવાન પેઢીને કયા આદર્શ શીખવશે? એમનું વર્તન યુવાનોને એવું જ અચેતનરૂપે શીખવશે કે ગમે તેટલા મહાન વૈજ્ઞાનિક બનો દેશના પ્રૅસિડેન્ટ બનો પણ એક અભણ મૂરખ અવૈજ્ઞાનિક ખ્યાલો ધરાવતા બાવાના પગમાં પડો. માબાપનું વર્તન જોઇને સંતાનો અચેતનરૂપે બધું શીખતા હોય છે. આવા સેલીબ્રીટીનું વર્તન જોઇને સમાજ શીખતો હોય છે. સમાજ શીખશે, સમાજના યુવાનો શીખશે કે કહેવાતા સ્કીલ્ડ લેબરની જેમ વૈજ્ઞાનિક બનો અને આઠ ચોપડી ભણેલા સમાજને બીમાર બનાવતી માન્યતાઓ ફેલાવતા બાવાના પગમાં પડો.

આપણા તો પીએમ શુદ્ધા બહુ સારા લીડર હોવા છતાં એન્ટી-ઈન્ટેલેકચ્યુઆલીઝમને સપોર્ટ કરતું વર્તન કરશે. પ્રતિબુદ્ધિવાદને અનુસરીને સુખડ-ઘીના દાન કરશે. જાણતા હોય પણ મોટાભાગની પ્રજા જ એન્ટી-ઈન્ટેલેકચ્યુઅલ હોય ત્યાં એને ખુશ રાખવા એશોઆરામ જેવા હરામખોરના પડખે ચડશે. પછી માઇક પકડી એશોઆરામ કહેશે કેવો સરસ મેળ પડ્યો. ધર્મસત્તા અને રાજસત્તા ભેગાં મળે એટલે પ્રજાનો બેડો પાર થઈ જાય. અલ્યા મૂરખ ધર્મસત્તા અને રાજસત્તા ભેગાં મળે તો પ્રજાનું સત્યાનાશ વળી જાય તેની તને ક્યાં ખબર છે? ‘હું તો કેદુ નો કેતો તો મારો શિવો મને મળી ગયો.. શિવો આજે દિલ્હીનાં દરબારમાં છે અને પોતાને સમર્થ સ્વામી રામદાસ જોડે સરખાવનાર જેલમાં. હહાહાહાહાહા

મૂળ તકલીફ છે પ્રજા એના બ્રેન ન્યુરોન્સ વાપરતી નથી, વિચારતી નથી, વિચારવાની પ્રક્રિયા એની સમજમાં જ આવતી નથી. કારણ વિચારવાની બારીઓ જ બંધ કરાવી દીધી હોય. કારણ જો પ્રજા વિચારે તો નેતા અને ધર્મનેતાઓનો ધંધો ચાલે જ નહિ.

કોમવાદ કે રેસિઝમ પ્રતિબુદ્ધિવાદ જ છે. કહેવાતા બુદ્ધિશાળી અને એડ્યુકેટેડ લોકો પણ કોમવાદી હોઈ શકે છે. એનિમલ બ્રેન હમેશાં કોમવાદી જ હોય. કોમવાદ બીજું કશું નહિ એક નાના પાયે સમૂહવાદ જ છે. કારણ મેમલ સમૂહમાં રહેવા જિનેટિકલી ઇવોલ્વ થયેલા છે. અને વસુધૈવ કુટુમ્બક એ લાર્જ-કોર્ટેક્સનો કૉન્સેપ્ટ છે કે આખી દુનિયા આપણો સમૂહ છે અને સર્વ સમાન છે. સામ્યવાદ, સમાજવાદ, આપણે કહીએ કે આપણે બધા સરખાં છીએ. એવરીવન ઇઝ ઇક્વલ. એક ઉચ્ચ આદર્શ ગણીએ તો સારી વાત છે.   Equality is an abstraction, and the mammal brain does not process abstractions. આપણા આવા અનેક આદર્શો અમૂર્ત વિચારણા હોય છે. અહિંસા પરમોધર્મ, વસુધૈવ કુટુમ્બકમ અને ઇક્વાલિટી જેવી અનેક અમૂર્ત વિચારણાઓને મેમલ બ્રેઈન પ્રોસેસ કરી શકતું નથી. તેની ભૂખ feel good પૂરતી હોય છે. જ્યાં જ્યાં સર્વાઈવલ દેખાય ત્યાં તે feel good કરતું હોય છે.

જેમ જેમ માનવી ઈન્ટેલેકચ્યુઅલ થતો જાય તેમ તેમ પોતાને વિશ્વમાનવ અને વસુધૈવ કુટુમ્બકમમાં માનતો થઈ જતો હોય છે. ઉમાશંકર જોશી પાછલી અવસ્થામાં પોતાને વિશ્વમાનવ તરીકે ઓળખાવતા. અને મહાવીર જેવા ઍક્સ્ટ્રીમ ઇન્ટેલિજન્ટ તો નાના જીવજંતુમાં પણ પોતાનો અહેસાસ કરતા હોય છે. મેમલ બ્રેન પર અભૂતપૂર્વ કાબૂ મેળવી લે તેને જ જીન કહેવાય અને એવો કાબૂ જેણે મેળવી લીધો હોય તેને જૈન કહેવાય. Mahavira was given the title Jīnā, or “Conqueror” (conqueror of inner enemies such as attachment, pride and greed). બુદ્ધનું પણ એવું જ હતું. તમામ જીવો પ્રત્યે કરુણા એમનો મંત્ર હતો. પણ આ બધું એનિમલ બ્રેન ધરાવતા માનવ જંગલમાં કામનું નહિ જો જીવવું હોય તો. ત્યાં પછી કૃષ્ણ કામ લાગે. પછી તે કહેશે નૈન્મ છીન્દંતી શસ્ત્રાણમ, નૈન્મ દહતી પાવકઃ તો મારો પછી જીવવું હોય તો. અને DNA જીવતા રાખવા હોય તો………

 

 

જય પિતાશ્રી… ફાધર્સ ડે નિમિત્તે લેખન સ્પર્ધા

પ્યારા મિત્રો,

પ્રતિલીપી નામની વેબ સાઈટ ગુજરાતી તેમજ ભાષાઓનાં સાહિત્યની ખુબ સારી સેવા કરી રહી છે. ફાધર્સ ડે નિમિત્તે એના પર લેખન સ્પર્ધા રાખવામાં આવેલી છે. પિતા વિષે જે પણ લખવું હોય તે લખીને મોકલી શકાય. મેં પણ એમાં ઝુકાવેલું અને ‘જય પિતાશ્રી’ નામનો લેખ મૂક્યો છે. ફિલોસોફીના ફડાકાને બદલે સીધા ફેક્ટ આપેલા છે. મારા તમામ વાચક મિત્રોને અહી આપેલી લીંક પર જઈ તે લેખ વાંચવા નમ્ર વિનંતી.. .   જય પિતાશ્રી  આ લીંક ખુલે એટલે Read For Free ઉપર ક્લિક કરવાથી આખો લેખ વાંચવા મળશે. 11657335_10205224016012654_1346490501_n

મારી મરજી (My Choice)

મારી મરજી (My Choice)untitled

મારી મરજી નહોતી છતાં લંકાધિપતિ મને જબરદસ્તી ઉઠાવી ગયો. મેં પણ કમિટમેન્ટ એટલે કમિટમેન્ટ; રોજ સમજાવવા આવતો હતો છતાં કમિટમેન્ટ નિભાવવા એનું કહ્યું માન્યું નહિ. મારી વફાદારીના બદલામાં તમે શું આપ્યું? ઇનામમાં અગ્નિપરીક્ષા આપી. ચાલો હું એકલી રહી હતી અમુક વર્ષો માટે; તમને શંકા હતી કે હું વફાદાર રહી નહિ હોઉં તો તમે પણ એકલાં તેટલો સમય રહ્યા જ હતા તો અગ્નિપરીક્ષા ફક્ત મારી જ કેમ? તમારી કેમ નહિ? મને ખૂબ અપમાન લાગેલું પણ મારી મરજી કોઈએ પૂછી નહોતી. ચાલો જવા દો. ત્યાર પછી તમે શું બોલ્યા હતા યાદ છે? તારા માટે નહિ મેં તો મારા કુળની મર્યાદા સાચવવા યુદ્ધ કરેલું. હું ગર્ભવતી હતી છતાં જૂઠું બોલી વનમાં તગડી મૂકી મારી મરજી પૂછી હતી?

મારી ભૂલ નહોતી છતાં મને શિલા બનાવી દીધી ત્યારે મારી મરજી પૂછી હતી? પોતે હારી ગયા પછી મને એક દાગીનો હોય તેમ જુગારમાં મૂકીને હારી ગયા ત્યારે મારી મરજી પૂછી હતી? મારી મરજી નહોતી છતાં પાંચે ભાઈઓ મને પથારીમાં રમવાનું રમકડું સમજી રમે રાખતા હતા. હું એક સહિયારું રમકડું જ હતી. બાકી દરેક ભાઈની વધારાની એક પત્ની તો હતી જ. હું ખૂબ રૂપાળી હતી માટે મને મેળવવા તમે બધા લડી નાં મરો માટે મને આખા નગરની વધૂ-વહુ(નગરવધૂ) બનાવી દીધી મારી મરજી પૂછવાની કોઈ દરકાર કરેલી?

મારી મરજી ક્યારેય હતી ખરી?

આમેય મરજી તો તમારી જ ચાલવાની છે છતાં આજે પહેલી વાર મારી મરજી નામે એક સ્ટેટમેન્ટ આપ્યું તો કેવાં બધા ગભરાઈ ગયા? ભારતમાં તો ખાસ. અને મેં સ્ટેટમેન્ટ એવું આપ્યું છે કે જે તમે પુરુષો હમેશાં કરતા જ આવ્યા છો. તમારા માટે એવું બધું કરવાની કોઈ નવાઈ છે જ નહિ તે પણ સદીઓથી. સેક્સિસ્ટ લોકો ગભરાઈ ગયા. બિનૅવલન્ટ સેક્સિસ્ટ લોકો તો વળી બહુ જ ગભરાઈ ગયા.

લગ્ન બહાર શારીરિક સંબંધો તમે બાંધ્યાં જ છે. કદાચ હિંમતના અભાવે કે પેલી સ્ત્રીના ભાઈ કે પતિની બીકમાં નહિ બાંધ્યાં હોય તે વાત જુદી છે. તમારી એ મરજી તમે પૂરી કરી જ છે. છતાં અમે જો ભૂલમાં ય એવા સંબંધ બાંધીએ તો ચરિત્રહીનનું લેબલ તમે લગાડ્યું જ છે. અમને ચરિત્ર હીન બનાવવામાં તમારો ફાળો ક્યારેક પૂરો કે પછી અડધો તો હોય જ, પણ ભોગવવાનું તો અમારે જ. અમારું માથુ દુખતું હોય તાવ આવ્યો હોય છતાં તમે અમારા પર પતિ હક બતાવી રેપ કર્યા જ છે, બીજીઓની વાત જવા દો. તે બાબતે અમારી મરજી ક્યારેય પૂછતાં નથી. અમારા માબાપ પાસેથી ઢગલો રૂપિયા પડાવી ને અમારી મરજી પૂછ્યા વગર અમને શો પીસની જેમ ઘરમાં રાખી જ છે. તમે નપુંસક હો તો અમારે તમારા ભાઈઓ કે ભાઈબંધો જોડે સૂઈ જવાનું અને તમને બાળકો આપી બહાર મર્દ છો તેવું કહેવડાવવાનું તેવું પણ અમે કરેલું જ છે અમારી મરજી વિરુદ્ધ. અરે તમારા પ્રમોશન માટે તમારા ઉપરી અધિકારીઓ જોડે પણ અમારી મરજી વિરુદ્ધ સૂઈ જવાનું. અરે તમારે મર્યા પછી વૈકુંઠ કે અક્ષરધામ મેળવવું હોય તે માટે અમારે અત્યારે તમારા ગંધાતા ગુરુઓ સાથે સૂઈ જવું પડે છે. કપડા પણ અમારે તમારી મરજી મુજબ પહેરવાના સદીઓથી. કામ પણ અમારે સદીઓથી તમારી મરજી મુજબ જ કરવાનું. ૨૪/૭ અમારી પીદુડી તમે કાઢી જ છે સદીઓથી.

આજે પહેલી વાર મારા લગ્ન, મારી વાસના, મારી સાઇઝ, મારા પ્રેમ, મારા કપડા, મારી સંતાન પ્રાપ્તિ અને મારા આત્માની સ્વતંત્રતા બાબતે, કહ્યું તો ભડકી ઊઠ્યા? તરત મને ચારિત્રહીન ગણવાનું શરુ પણ કરી દીધું? આજ સુધી તમે આમાનું બધું તમારી મરજી મુજબ કરતા આવ્યા છો ત્યારે તો સમાજ અને સંસ્કૃતિનો લોપ નહોતો થઈ જતો હવે થઈ જશે? કે પછી એ જ તમારી સંસ્કૃતિ છે?

“મને ખબર છે ભરી સભામાં મને નગ્ન કરવી એ જ તો તમારી મહાન સંસ્કૃતિ છે.”

પ્યારાં મિત્રો મારી વાત એકદમ કડવી ઝેર જેવી લાગશે. પણ આપણે બિનૅવલન્ટ સેક્સિસ્ટ છીએ. સ્ત્રી સ્ત્રી છે માટે અને પુરુષ પુરુષ છે માટે તે બંને માટે અલગ અલગ વર્તન કરવું તેને સેક્સિસ્ટ કહેવાય. સ્ત્રીને નરકની ખાણ માનવી કે સ્ત્રીને કમજોર માની તેના માટે દયાભાવ રાખવો બંને વર્તન સેક્સિસ્ટ જ કહેવાય. બસમાં કોઈ યુવાન સ્ત્રી ચડે અને તેને બેસવાની જગ્યા નાં હોય તો હું એને કમજોર સમજી એના પ્રત્યે દયા ભાવ રાખી કદી ઊભો થઈ ને એના માટે સીટ ખાલી કરતો નહિ. કોઈ બીમાર, વૃદ્ધ, અશક્ત કે બાળકને તેડી ઊભેલી સ્ત્રી માટે હું તરત જગ્યા આપું તે જુદી વાત છે. એક યુવાન બસમાં જગ્યા નાં હોય તો ઊભો રહી શકે તો યુવાન સ્ત્રી પણ ઊભી રહી શકે. પણ સ્ત્રીને જોતા વેંત ઊભા થઈ જનારા સ્ત્રી ઉપર વગર કામનો ઉપકાર કરતા હોય છે સ્ત્રીને કમજોર સમજી પોતાને બળવાન સમજી.

બિનૅવલન્ટ સેક્સિસ્ટ ભલે એક રીતે સારા લાગે પણ ખરેખર આવા પુરુષો સ્ત્રી સ્વાતંત્ર્ય માટે વધુ જોખમી હોય છે. તેઓ સ્ત્રીને નાજુક, અસહાય, કમજોર સમજતા હોય છે. તેઓ સમજતાં હોય છે કે સ્ત્રીને હમેશાં પુરુષોના રક્ષણ નીચે જીવવું જોઈએ. સ્ત્રીને કાયમ પુરુષ પ્રટેક્શનની જરૂર હોય જ છે. સ્ત્રી પુરુષના રક્ષણ અને મદદ વગર જીવી જ ના શકે. સ્ત્રીએ હમેશાં પુરુષોની આજ્ઞામાં રહેવું જોઈએ જેથી એમનું રક્ષણ થાય. એકંદર આવા બિનૅવલન્ટ સેક્સિસ્ટ પુરુષોની નિશ્રામાં જીવતી સ્ત્રીઓ પણ માનતી થઈ જતી હોય છે કે એમને સતત રક્ષણની જરૂર છે. આમ કોઈપણ પ્રકારનું સેક્સિઝમ સ્ત્રીની મેન્ટલ હેલ્થ, એની કામ કરવાની ક્ષમતા, સુખની લાગણીઓ વગેરે માટે હાનિકારક હોય છે. દીકરીને ગાય દોરે ત્યાં જાય કહેનારો આપણો તો ઍવરિજ આખો સમાજ સ્ત્રીઓના હિત માટે એની સાથે અણછાજતું વર્તન કરનારો (બિનૅવલન્ટ સેક્સિસ્ટ) છે. પહેલા સ્ત્રી નાની હોય ત્યારે માતાપિતા ભાઈઓના રક્ષણ હેઠળ જીવવાનું, પછી પતિના રક્ષણ હેઠળ જીવવાનું પછી ઘરડી થાય એટલે પુત્રોના રક્ષણ હેઠળ જીવવાનું.

સ્ત્રી સ્ત્રી છે માટે કમજોર છે માની એના ફાયદા માટે, એના લાભ માટે સ્ત્રીઓ ઉપર જુલમ કરનારો આપણે સમાજ છીએ.

Vouge નો Women Empowerment અંતર્ગત બનેલ વીડીઓ ‘My Choice’ બહુ ચર્ચાસ્પદ બન્યો. એમાં આખી દુનિયાની સ્ત્રીઓના પ્રતિનિધિ તરીકે ૯૮ સેલિબ્રિટી સ્ત્રીઓ દર્શાવવામાં આવી અને મુખ્ય પાત્ર ભજવ્યું દીપિકા પદુકોણે. એના ભાગમાં જે સ્ક્રિપ્ટ બોલવાની આવી તે અભિનય સાથે બોલી ગઈ. ભલે એમાંનું બોલેલું બધું તે માનતી હોય કે નાં માનતી હોય. એક જોબ, એક મળેલ એન્ડોર્સમેન્ટનાં ભાગ રૂપે એણે એની જોબ કરી. પણ વિરાટ કોહલી રન કર્યા વગર આઉટ થઈ જાય તો દરેક વાતે સ્ત્રીને જ દોષી માનવાની માનસિકતા ધરાવતી આપણ પ્રજાએ અનુષ્કાને ભયંકર ગાળો દીધેલી તેમ દીપિકાને પણ ખૂબ ગાળો દીધી. હૉસ્ટાઇલ સેક્સિસ્ટ અને બિનૅવલન્ટ સેક્સિસ્ટ બધા પ્રકારના લોકોએ ગાળો દીધી. એવરિજ તમામ ભારતીયોએ ગાળો દીધી. આપણા મોટાભાગના મહાન લેખકોએ પણ એમની સેક્સિસ્ટ મનોદશા દર્શાવી દીધી એમના લેખોમાં. બિનૅવલન્ટ સેક્સિસ્ટ પુરુષોની નિશ્રામાં જીવતી સ્ત્રીઓ પણ માનતી થઈ જતી હોય છે કે એમને સતત રક્ષણની જરૂર છે. આવી સ્ત્રીઓએ પણ ગાળો દીધી, એમાં દીપિકા ભારદ્વાજ નામની દંભી સ્ત્રીએ કડક ટીકા પુરુષોનો પક્ષ લેતી કરી તો ગ્રેટ લેખકો અને પુરુષો હરખાઈ ઊઠ્યા.

My Choice નું મહત્વ સ્ત્રી માટે ઇવલૂશનરી અને બાયોલોજીકલ છે. સ્ત્રી જન્મે છે ત્યારે જ બાળકો પેદા કરવા જરૂરી લિમિટેડ એગ્સ સાથે લઈને જન્મે છે. ચાલો માની લઈએ એક સ્ત્રી ૧૨ વર્ષે ઋતુચક્રમાં આવી ગઈ. અને ૪૨ વર્ષે એનું તે ચક્ર સમાપ્ત થઈ જવાનું તો ૩૦ વર્ષના દર મહીને છૂટું પડતા એક અંડ પ્રમાણે ૩૬૦ અંડ સાથે લઈને જ જન્મ લેવાની. જ્યારે સામે પુરુષના એક ટીપા વીર્યમાં અબજો સ્પર્મ હોય છે. પુરુષ માટે ક્વૉલિટીનું કોઈ મહત્વ નથી ચાન્સ મળશે તો રખડતી ગાંડી ઘેલી ભિખારણમાં પણ એનું સ્પર્મ રોપી દેવાનો છે. મેં જાતે એવી ગાંડી ભિખારણ ગર્ભવતી જોએલી છે. જ્યારે સ્ત્રી માટે ક્વોન્ટીટી નહિ પણ ક્વૉલિટીનું મહત્વ છે; એની પાસે અત્યંત લિમિટેડ અંડ છે. માટે પાર્ટનર પસંદ કરવાની તેની મરજી મહત્વની છે. સ્ત્રી પાવરફુલ Genes ધરાવતા પુરુષની બીજી ત્રીજી કે ચોથી પત્ની બનવા રાજી થશે પણ કમજોર, બીમાર, માયકાંગલા અને દરિદ્રની પહેલી પત્ની બનવા કદી રાજી નહિ થાય. આખી ઇવલૂશનરી હિસ્ટ્રીમાં એવું જ જોવા મળેલું છે. એટલે તો આપણે પવિત્ર લગ્ન વ્યવસ્થા શોધી કાઢી છે, જેથી દરેકને ભાગે સ્ત્રી આવે જે કદી પવિત્ર હતી જ નહિ. પવિત્ર લગ્ન વ્યવસ્થામાં પણ સક્ષમ પુરુષ તો અનેક પત્નીઓ લગ્ન કરીને રાખતો જ હતો. ભારતમાં તો આઝાદી પછી એક પત્ની એક પતિનો કાયદો આવ્યો. પશ્ચિમમાં હવે તેનું અસ્તિત્વ ભુસાઈ જવા આવ્યું છે ભારતમાં થોડી વાર લાગશે. એટલે તો પુરુષો આવા વીડીઓ જોઈ ગભરાઈ જઈને વધુ હોબાળો મચાવી દેતા હોય છે.

Rosana Mendes Campos બ્રાઝીલની એક પ્રોફેસર બે પુખ્ત સંતાનોની માતા અને એક બાળકીની દાદી લાંબું સુખી લગ્નજીવન, કહે છે “It’s just what it is: the woman’s choice. Her right to choose, whether she chooses to act right or wrong is really up to her. Men have been choosing what they want to do for centuries. Now, women may do the same. Everyone knows what is best for them… or they might even choose wrong, but they are responsible for what they choose to do, and they will have to accept the consequences.’

દીપિકા પડુકોણ, ગ્રેટ બેડમિન્ટન પ્લેયર પ્રકાશ પડુકોણની દીકરી. સવારે પાંચ વાગે જાગવાનું, દોડવા જવાનું, કસરત કરવાની, સ્કૂલમાં જવાનું, સાંજે પાછી કસરત, રમતની પ્રેક્ટીશ કરવાની. સ્કૂલમાં હતી ને વસ્તુઓની જાહેરાતના કામ મળવાના શરુ થઈ ગયેલા. નેશનલ લેવલની અચ્છી બેડમિન્ટન પ્લેયર. ફેમિલી બધું રમતગમતનાં બૅકગ્રાઉન્ડ વાળું. પણ એક દિવસ અચાનક એના પિતાને કહ્યું મારે રમત જગતમાં નથી જવું મોડેલીંગ કરવું છે. એના પિતાએ જરાય આનાકાની વગર હા પાડી દીધી. આપણે એક ગ્રેટ બેડમિન્ટન પ્લેયર ગુમાવી અને ઉત્તમ અભિનેત્રી મેળવી. વફાદારી શું તેને ખબર છે. કપૂરિયાનો વુમનાઈઝર વારસો ધરાવતા રણબીરકપૂર સાથે સ્નેહ બંધન વડે જોડાઈ. સનમ બેવફા એવા રણબીરને એક બે વાર માફ પણ કર્યો પણ રેડ હેન્ડેડ પકડાઈ જતા તેનાં પર પૂર્ણવિરામ મૂકી દીધું. My Choice વીડીઓમાં એણે જે કહ્યું તે બધું તે પોતે માનતી હોય તેવું કોણે કહ્યું? આ તો જોબ હતી તે કરી લીધી. અને માનતી હોય તો પણ શું વાંધો છે? એની મરજી.

સ્ત્રી સશક્તિકરણ એટલે શું? સ્ત્રીને નબળી સમજ્યા વગર સ્ત્રીને એની મરજી મુજબ જીવવા દો સાથે તમે તમારી મરજી મુજબ જીવો અને બંને એકબીજામાં સમાઈ એકબીજાની મરજી સમજીને જીવો એનું નામ જ સ્ત્રી સશક્તિકરણ.

જંબુદ્વિપનાં વિહારમાં ગજેન્દ્ર મોક્ષ

untitledજંબુદ્વિપનાં વડાપ્રધાન ગજેન્દ્ર મોદી આજે જરા અપસેટ દેખાતા હતા. ગમાર ખોખામાં (ઈડીયટ બૉક્સ-ટીવી) જાતજાતના સમાચાર જોઈ એમનું મન જરા બગડેલા દહીં જેવું ખાટું થઈ ગયું હતું. સવારે બ્રાહ્મ મુહૂર્તમાં જાગીને સાહેબના ઉપનામથી જાણીતા વડાપ્રધાન કલાક યોગા કરતા. આખો દિવસ ખૂબ બોલવાનું ભાગે આવતું એટલે એના માટે એનર્જી ભેગી કરવા બે કલાક મૌન પાળતા એવું અફવા ફેલાવનારાઓનું કહેવું છે. એમણે યોગામાથી પરવારી, આસનસ્થ ફોટા વગેરે પડાવી તરત એમના અંગત સમિત શાહને બોલાવ્યા.

અલ્યા સમિતભાઈ, ‘ આ શું સાંભળું છું? આ ત્રાસવાદીઓના બાતમીદારો આપણા તેલના ટાંકા જ્યાં આવેલા છે તેની રેકી કરી ગયા?’

સાહેબ આ રેકી કરવાનું રોકી શકાય તેવી કોઈ વ્યવસ્થા આપણી પાસે છે નહિ. થોડા થોડા દિવસે અને ક્યારેક બે દિવસમાં બે વાર ત્રાસવાદીઓના હુમલા થાય છે. હવે આપણે એમની સામે લડવા કમાન્ડોબળ વધારવું પડશે.’ સમિત શાહે જવાબ આપ્યો.

સાહેબ ઉવાચ, ‘એના માટે જન્મજાત કમાન્ડો જેવા કરતબ કરતા લોકો હમણાં ટીવીમાં જોયા. વિહારના મુખ્ય મંત્રીનો સંપર્ક સાધો. અને ત્યાં ચાલતી પરિક્ષાઓ આપતા વિદ્યાર્થીઓને એમની વિદ્યાની અર્થી ઉઠાવવામાં મદદ કરવા જીવન જોખમે કમાન્ડો જેવા સાહસ કરતા વિરલાઓનું સન્માન કરો. એમને સીધા કમાન્ડો તરીકે ભરતી કરી દો. સંભવિત ત્રાસવાદી હુમલા સામે લડવા આવા જન્મજાત ખેલાડીઓની બહુ જરૂર પડશે. બીજું એમને ટ્રેનીગ આપવાનો સમય અને ખર્ચ પણ બચી જશે અને તે ખર્ચમાંથી હું બે દેશ વધારે ફરી શકીશ.’

હા સાહેબ, ‘એ કામ તો ચપટીમાં થઈ જશે. પણ વિહારના એ વીરલાઓના સાહસના ફોટા સમાચારસહ અમેરિકાના છાપામાં આવી ગયા એમાં કેટલાક પત્રકાર કમ લેખક લોકોની અદ્ભુત લાગણીઓ દુભાઈ ગઈ છે તેનો વિરોધ પ્રદર્શિત કરવા આપને મળવા આવ્યા છે.’

‘આ પત્રકારો લેખક પણ હોય છે?’ સાહેબને નવાઈ લાગી.

‘અમુક હોય છે. એમાંય મુંબઈમાં રહેતા લેખકો બહુ મોટા લેખક કહેવાય, આઈ મીન પૉપ્યુલર કહેવાય એવો એમને વહેમ હોય છે. સેળભેળભાઈ આવા ગ્રેટ લેખક છે એમની અંગત લાગણી દુભાઈ ગઈ છે, કે અમારા એક રાજ્યમાં વિદ્યાની અર્થી ઉઠાવવામાં કેટલું મોટું સાહસ કરવું પડતું હોય છે, એના ફોટા અમેરિકાવાળા કેમ છાપે?’ સમિતભાઈએ જરા લાબું ખેંચ્યું.

‘પણ એમાં મને મળવા શું કામ?’ સાહેબે શંકા કરી.

‘હવે ઓબામાજી આપના અંગત મિત્ર બની ગયા છે તેવી એમને શંકા છે, માટે આપ ઓબામાજીને ભલામણ કરો કે ફરી આવું થવું નાં જોઈએ,’ સમિતભાઈ બોલ્યા.

‘આ ઓબામા કોઈનો થયો નથી ને થવાનો નથી એ એના દેશનો જ રહેવાનો,’ સાહેબે ઉચ્ચાર્યું.

‘આપણે ય ક્યાં કોઈના થઈએ છીએ?’ સમિતભાઈ કોઈ સરખું સાંભળે નહિ તેમ બોલ્યા.

સાહેબ ઉવાચ, ‘આપણા સાહસોને વિદેશમાં જેટલી પ્રસિદ્ધિ મળે તેટલું સારું ત્યાં આ લેખકોના પેટમાં શું દુખતું હશે? હમણાં પેલી લેસ્લીબુન ફિલમ ઉતારી ગઈ હતી એમાં પણ આ લેખકો વિરોધ કરતા હતા.’

‘આપણા સાહસનાં સિક્રેટ બીજો કોઈ જાણી જવો નાં જોઈએ તેવી આપણા લોકોની અંગત લાગણી હોય છે, અને એ લાગણી ભડકાવવામાં રોટલા-પાણી હોય પછી?’ સમિતભાઈ કોઈવાર કટાક્ષ મારી લેતા.

‘એ લા સમિતભાઈ, આ વિહારમાં બીજું તિકડમ વિદ્યાની અર્થી ઉઠાવવાનું જોયું હમણાં, કે સામાન્ય જ્ઞાન વિષયનો શિક્ષક વિજ્ઞાનની ઉત્તરવહી તપાસતો હતો? મતલબ જે તે વિષયના નહિ અને બીજા વિષયના શિક્ષકો ઉત્તરવહીઓ તપાસતા હતા?’ સાહેબ બોલ્યા.

‘આ કાઈ નવું નથી, આપણા ગુર્જર દેશના વટપદ્ર(વડોદરા) નામના શહેરની એક જાણીતી અંગ્રેજી માધ્યમની સ્કૂલના શિક્ષકે આશરે ૧૫ વર્ષ પહેલા જાતે જોએલું કે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ ગુજરાતી માધ્યમના શિક્ષકો તપાસતા હતા. તે પણ પોતાનો વિષય નાં હોય તેવા વિષયની. તેમણે તે સમયે શિક્ષણ ખાતા અને મંત્રીશ્રીઓ ઉપર પત્રો લખેલા. આ બધું લોકો આપણા જોડેથી શીખે છે, આપણે પ્રધાનમંડળ રચીએ છીએ એમાં એવું જ હોય છે ને? સાધુના કુળ, સ્ત્રીની ઉંમર અને પ્રધાનની ડિગ્રી કદી પૂછવી નહિ’ સમિતભાઈ બરોબર ખીલ્યા.

‘આ શિક્ષકો ખરેખર રાજકારણમાં હોવા જોઈતા હતા બહુ કામ લાગે એવા છે, જે વિષયનું જ્ઞાન નાં હોય તે વિષયના પેપર તપાસવા બહુ સાહસનું કામ કહેવાય બેન વિસ્મૃતિને કહીને એમને આપણા પક્ષમાં ભરતી કરી દો, સાહેબે આદેશ આપ્યો.

‘સાહેબ, પેલાં લેખક મહાશયનું શું કરવું છે? બોલાવું એમને કે કોઈ બહાનું કાઢી રવાના કરી દઉં?’

‘તમારી નાતના જ છે ને? એમને ખીચડી કઢી જમાડી રવાના કરી દો મને ટાઈમ નથી, મારે જીતુભાઈ અને મુકેશભાઈ સાથે મહત્વની મિટીંગમાં જવું છે. મીતા ભાભીસાહેબ પણ આવવાનાં છે.’ સાહેબ આટલું કહી ગરુડ વેગે ભાગ્યા. જતા જતા સાહેબ સમિતભાઈ સામે જોરથી હસતા હસતા બોલ્યા.

સાધુના કુળ, સ્ત્રીની ઉંમર અને પ્રધાનની ડિગ્રી પૂછવી નહિ. સમિતભાઈએ પણ સૂરમાં સુર પુરાવ્યો.

 

નકલી ચરમસીમા (Fake Orgasm)

નકલી ચરમસીમા (Fake Org

untitled

સંભોગમાં સ્ત્રીઓને પ્રાપ્ય થતી ચરમસીમા બહુ મોટો પૉપ્યુલર ટૉપિક ગણાતો હતો, આજે પણ ગણાય છે. અમુક આફ્રિકન સમાજોમાં તો બચપણ થી જ સ્ત્રીઓના ક્લિટરિસ કાપી નાખવામાં આવે છે જેથી સંસર્ગનો આનંદ મેળવી શકે નહિ અને તે આનંદ કદી જાણ્યો જ નાં હોય તો ભવિષ્યમાં તે આનંદ વધુને વધુ પ્રાપ્ત કરવાની ઇચ્છા જાગે જ નહિ. એટલે એના પતિદેવને એક જાતની સલામતી કે એની સ્ત્રીને આનંદ આપવાની જવાબદારીમાંથી મુક્તિ. તો સામે એના વફાદાર રહેવાના ચાન્સ પણ વધી જાય.

સ્ત્રીઓની કામુકતા (ફીમેલ સેકસ્યુએલિટી) કે સ્ત્રીઓની કામુક પ્રવૃત્તિનાં સ્વીકાર બાબતે પશ્ચિમના સમાજ તો ખૂબ પ્રગતિશીલ છે. છતાં ત્યાં પણ નકલી ચરમસીમા હજુ પણ કૉમન છે તો બીજા રૂઢિચુસ્ત દેશોની તો શું વાત કરવી? હાજી પશ્ચિમના સમાજમાં પણ મોટાભાગની આશરે ૭૦ ટકા સ્ત્રીઓને સંભોગ દરમ્યાન ચરમસીમા પ્રાપ્ત થતી નથી તો સામે ૯૦ ટકા પુરુષોને તે સહજ મળે છે. એમાંય યુવાન સ્ત્રીઓ પાછી વધુ કમનસીબ હોય છે. કારણ સ્ત્રીને ઉત્તેજિત કરવાની મેજિક ફૉર્મ્યુલા શોધતાં એના પાર્ટનરને થોડીવાર લાગતી હોય છે સમય માંગી લે તેવું કામ છે. જ્યારે મોટા લોકો એમાં અનુભવ મેળવું ચૂક્યા હોય છે. આમ તો જે તે સંસર્ગ દરમ્યાન તો બરોબર પણ એક જ સમયે બંનેને ઑર્ગેઝમ પ્રાપ્ત થાય તો સારું એવું મનાતું હોય છે. અને એમાંય સ્ત્રી વહેલી અંત લાવી દે કે વહેલી તૃપ્ત થઈ જાય પુરુષ કરતા તો ભયો ભયો, આનંદ આનંદ. જરૂરી ફોરપ્લેનાં અભાવે કે કોઈ પણ કારણ હોય સ્ત્રીને ઑર્ગેઝમ પર પહોંચતાં વાર લાગતી હોય છે. અથવા તો પશ્ચિમના સમાજના આંકડા મુજબ આશરે ૭૦ ટકાને ચરમસીમા પ્રાપ્ત થતી નથી તો શું કરશે? ઑર્ગેઝમ પર પહોંચી ગઈ છે તેવો ઢોંગ કરશે. ચરમસીમા પ્રાપ્ત થતા ભૂતકાળમાં જે વર્તન થઈ ગયું હશે તેની નકલ કરશે.

અમુક લોકોનું માનવું એવું પણ છે કે પુરુષ તો સ્ત્રીને ઉત્તેજિત કરવા જે જે રમત રમતો હોય એમાં માનસિક રીતે સ્ત્રી જોડાય નહિ, એના પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે નહિ (lack of emotional commitment) તો પછી ઑર્ગેઝમ પર પહોચવું મુશ્કેલ. ઘણા એવું માને છે કે ચાલો સ્ત્રી-પુરુષ બંને ચરમસીમાએ પહોંચી ગયા તો પુરુષ માટે તો નૉર્મલ છે પણ સ્ત્રી માટે બોનસ કહેવાય. પણ જરૂરી નથી કે સેક્સ દરમ્યાન સ્ત્રી સંતોષ દર વખતે મેળવી જ લે. મહત્વની વાત હવે આવે છે. આ પશ્ચિમના સમાજની વાત છે, કે સ્ત્રીને સંભોગ દરમ્યાન સ્ત્રીના પોતાના પ્રયત્ને ઑર્ગેઝમ પ્રાપ્ત થાય એના બદલે પુરુષના પ્રયત્ને ઑર્ગેઝમ પ્રાપ્ત થાય તે વધુ લાભદાયી ગણાય છે. કારણ આમાં પુરુષનો અહં સંતોષાય છે કે મારા પ્રયત્નો વડે મારી પાર્ટનર ચરમસીમા ઉપર પહોંચી. અને એનો પોતાનો આનંદ બેવડાય છે. આવા સમયે જો સ્ત્રીને ઑર્ગેઝમ પ્રાપ્ત નો થાય તો પુરુષનો અહં ઘવાય છે. એને એવું થાય કે પોતે પોતાની સ્ત્રીને સંતોષ આપી શકવા સમર્થ નથી. તો સ્ત્રી પોતાના આનંદની ચિંતા કર્યા વગર પોતાના પુરુષના અહંને સંતોષવા ચરમસીમા મળી ગઈ છે તેવું બતાવવા ઢોંગ કરશે. પોતાના પ્રિયતમને અપસેટ કરવા ઇચ્છતી હોતી નથી. સ્ત્રી પોતાનો પાર્ટનર ફેઇલ ગયો છે તેવું તેને જણાવવા માંગતી હોતી નથી. ટૂંકમાં ઑર્ગેઝમ પ્રાપ્ત થઈ ગયું છે તેવી નકલ કરવામાં પણ સ્ત્રીનો હેતુ ઉમદા હોય છે તેના પુરુષનો અહંકાર સંતોષવાનો અને એમ કરીને એને ખુશ રાખવાનો.

સિંગમડ ફ્રોઈડ કહેતો ‘ woman’s basic fear is that she will lose love.’ એટલે સ્ત્રી પોતાના સંતોષ કરતા પોતાના પાર્ટનરનાં સંતોષની વધુ ફિકર કરતી હોય છે. જો કે પશ્ચિમના પુરુષો પોતે જ સ્ત્રીના ઑર્ગેઝમ બાબતે વધુ ચિંતિત હોય છે તે જાણી સ્ત્રીઓ ખુશ થતી હોય છે.

રૂઢિવાદી, ચુસ્ત, સ્ત્રીઓની જ્યાં બહુ કદર નાં હોય તેવા દેશોના સમાજોમાં ચિત્ર ઊલટું હોઈ શકે, ભારત પણ એમાં આવી જાય. અહીં સ્ત્રીને ઑર્ગેઝમ પ્રાપ્ત થતું હોય ત્યારે પણ આનંદના અતિરેકમાં તેને વ્યક્ત કરવું અસભ્ય ગણાતું હોઈ શકે. ઊલટાનું ઑર્ગેઝમ પ્રાપ્ત થતું હોય ત્યારે પણ એને શારીરિક રીતે બતાવ્યા વગર ચુપચાપ પડી રહેવું ખાનદાની ગણાતી હોઈ શકે. એવું લાગવું નાં જોઈએ કે સેક્સમાં ખૂબ મજા છે. નહિ તો સાલી વંઠેલ છે તેવું પતિદેવ સમજી લે તો પછી હમેશાં પતિદેવની શંકાશીલ નજરનો સામનો કરવો પડે. સેક્સ એક પાપ છે તમારે જે કરવું હોય તે કરો, હું તો આ ચુપચાપ પડી.. સેક્સમાં જરા રસ લેવો કે આજે સેક્સની ઇચ્છા થઈ છે તેવું બતાવવું પણ ચારિત્ર્ય હીનતા ગણાય જાય. અહીં તો અસલી મળેલું ઑર્ગેઝમ પણ છુપાવવું પડે તેવી હાલત છે, તે પણ દુનિયાને સૌથી પહેલું ‘કામસૂત્ર’ આપનારા દેશમાં. છે ને કરુણતા?

સંસ્કાર : તારક કે મારક? ભારતની પ્રગતિ કેમ અટકી? લેખક: સુબોધ શાહ

શ્રી. સુબોધ શાહે ‘Culture Can Kill’ નામનું અંગ્રેજીમાં બહુ સરસ આપણને વિચારતા કરી દે તેવું પુસ્તક લખ્યું છે. આ જગત સતત પરિવર્તનશીલ છે. સંસ્કૃતિઓ પણ પરિવર્તનશીલ નાં બને તો ઘાતક પુરવાર થતી હોય છે, અને જો આ પરિવર્તન પ્રોસેસ એટલો બધો ધીમો હોય લગભગ સ્થિર જેવો તો બીજી સંસ્કૃતિઓની સરખામણીએ આપણે વિકાસના ક્રમમાં બહુ પાછળ પડી જતા હોઈએ છીએ. શ્રી. સુબોધ શાહે આપણી ખુદની સંસ્કૃતિ, પરમ્પરા અને માન્યતાઓ આપણા માટે કઈ રીતે ઘાતક પુરવાર થાય છે અને આપણને કઈ રીતે વિકસતા અટકાવે છે તે બહુ સરસ રીતે સમજાવ્યું છે. આ પુસ્તકની ચિત્રાત્મક રજૂઆત અગાઉ અંગ્રેજીમાં કરી હતી. ત્યારે ઘણા મિત્રોની ફરમાઈશ આવેલી કે આ રજૂઆત ગુજરાતીમાં પણ હોય તો ઉત્તમ. ફક્ત આ ચિત્રો જુઓ, વાંચો અને પુસ્તકનો સાર ગ્રહણ કરો. પ્રથમ ચિત્ર ઉપર ક્લિક કરીને આખો  સ્લાઈડ શો જુઓ. આ પુસ્તકની પ્રિન્ટેડ કોપી જોઈતી હોય તો અહી ક્લિક કરો Culture Can Kill

ભારતની દીકરી જોખમમાં

ભારતની દીકરી જોખમમાં230px-Tizian_094

લેસ્લી ઉડવીન, ૧૯૫૭મા ઇઝરાયલમાં જન્મેલી યહૂદી બાઈ. Eldorado નામના ટીવી શોમાં અભિનય કરતી કરતી ફિલ્મ મેકર બની ગઈ. India’s Daughter નામની ડોક્યુમેન્ટરી બનાવીને ભારતમાં વિવાદાસ્પદ બની ગઈ છે. નિર્ભયારૅપ તરીકે પંકાઈ ગયેલા કાંડ ઉપર એણે દસ્તાવેજી ફિલ્મ બનાવી છે. પોતાના ગુમડાં જોવાની હિંમત ગુમાવી બેઠેલી દંભી પ્રજાએ કાગારોળ મચાવી દીધી. એ પ્રજા ભૂલી ગઈ કે આજના આધુનિક શહેરોમાં રહેતી ભણેલી ગણેલી સ્ત્રીઓ પણ ક્યાં સેફ છે? હજુ સ્ત્રીઓની દશા એવી જ છે. દિલ્હી જેવા મહાનગરમાં રોજ બળાત્કાર થાય છે. રોજ એક જ્યોતિ બલાત્કાર સહન કરીને એની બોલવાની જ્યોત બુઝાવતી હોય છે. હરામીઓએ એક જ્યોતિના તો બસમાં આંતરડા પણ બહાર કાઢી નાખ્યા. સાલું આ લાંબું લાંબું હાથમાં શું આવ્યું? આંતરડા જ હોવા જોઈએ. જગજાહેર બીબીસી પર કહેતા શરમ પણ નો આવી? લાખો લોકોની વિચારસરણી એક રૅપીસ્ટ, એક બળાત્કારી જેવી છે તે ઉજાગર થઈ ગયું. અને તે આખી દુનિયા જાણી જાય તો આબરૂ જાય.

‘આ આબરૂ જાય’ માનસિકતાએ લાખો છોકરીઓ બચપણથી બળાત્કાર સહન કરવાની ટેવ પાડી દેતી હોય છે. તમને ખબર નહિ હોય કાયદેસર સૌથી ઓછા બળાત્કાર ભારતમાં નોંધાયા છે. એકલી સ્ત્રીઓ નહિ પણ પુરુષો ઉપર પણ બળાત્કાર થતા હોય છે. ખાલી અમેરિકામાં ૨૦૦૮માં આશરે ૪૦,૦૦૦ પુરુષો ઉપર અને ૧૬૪૦૦૦ સ્ત્રીઓ ઉપર બળાત્કાર થયા છે એવું કહેવાય છે. ફ્રાન્સમાં ૨૦૧૨માં ૭૫,૦૦૦ રૅપ કેસ નોંધાયેલા. ટૂંકમાં યુરોપના દેશમાં કેસ વધુ નોંધાય તે સ્વાભાવિક છે કે જ્યાં વર્જિનિટીનું બહુ મહત્વ હોય નહિ. જે દેશોમાં વર્જિનિટીનું મહત્વ અતિશય હોય ત્યાં રૅપ થયા પછી સ્ત્રીઓ ઉપર બહુ મોટું જોખમ હોય છે. સંબંધીઓ દ્વારા જ મારી નખાય તેવું બને. ભારતમાં શરમના માર્યા અને આબરૂ જવાની બીકે કેસ નોંધાતા નહિ હોય તે વાત જુદી છે. Date rape, gang rape, marital rape, incestual rape, child sexual abuse, prison rape, acquaintance rape, war rape and statutory rape વગેરે વગેરે રૅપની કૅટેગરી છે. રોમન કિંગડમનું રોમન રિપબ્લિકમાં રૂપાંતર થયું એની પાછળ ઉમરાવ પત્ની Lucretia ઉપર થયેલો રૅપ કારણભૂત હતો. Lucretia એ પછી આત્મહત્યા કરેલી.

રૅપ એકલાં ભારતમાં જ થાય છે તેવું તો હોય નહિ. આખી દુનિયામાં રૅપ થતા જ હોય છે. હવે એક ભારતમાં બનેલા રૅપ ઉપર બનેલી ડોક્યુમેન્ટરી જોઈ આખી દુનિયામાં ભારતની આબરૂ જશે, આખી દુનિયાના લોકો ફિટકાર વરસાવશે તેવું માની લેવું વધુ પડતું છે. કારણ દરેક દેશમાં રૅપ થતા જ હોય છે. એક રૅપીસ્ટનો ઈન્ટરવ્યું જોઈ ભારતના તમામ યુવાનો આવા જ હશે તેવું માની લે તેવા બાકીની દુનિયાના લોકો મૂરખ તો હોય નહિ. પણ લેસ્લી ઉડવીન અને BBC એ બનાવેલી ડોક્યુમેન્ટરીનો વિરોધ કરવા આવા બધા બહાના ભારતની મૂરખ-દંભી પ્રજા દ્વારા અને મીડિયા દ્વારા કરવામાં આવે છે. વિરોધનું મૂળ કારણ ભારતની આબરૂ જાય છે અને આબરૂની ચિંતા સૌથી વધુ આપણને હોય છે.

એક રૅપ આખા રોમન કિંગડમને રોમન રિપબ્લિકમાં બદલી નાખે તેમાં પ્રજાની જાગૃતિને જ સલામ કરવી પડે. રોમન Lucretia પછી કદાચ જ્યોતિસિંઘ પર દિલ્હીમાં થયેલો બળાત્કાર પહેલો એવો હશે જેમાં પ્રજાએ પ્રચંડ વિરોધ દર્શાવ્યો હશે. બાકી દુનિયામાં એક રૅપ થાય વિકટીમ અને વિકટીમનાં સગાઓ સિવાય કોઈને કાઈ પડી હોતી નથી. બસ આ પ્રચંડ વિરોધ જોઇને લેસ્લી ઉડવીનને ભારતની જાગૃત પ્રજા માટે એક માન પેદા થયું અને એને વિચાર આવ્યો કે આના પર એક દસ્તાવેજી ફિલ્મ બનાવીએ તો દુનિયા આમાંથી બોધપાઠ લે. એણે આ ગેંગ રૅપનાં એક સભ્યનો ઈન્ટરવ્યું લીધો. ડિફેન્સ વકીલોના ઈન્ટરવ્યું લીધા. ડિફેન્સ વકીલોની માનસિકતા જાણીને મને તો ખરેખર ચક્કર આવી ગયા. પણ ડીફેન્સનાં એક વકીલે નગ્ન સત્ય કહ્યું કે બળાત્કારના આરોપો જેમના માથે હોય એવા કેટલાય ચૂંટાયેલા સભ્યો સંસદમાં બેઠાં છે તેમનું શું? બળાત્કારીઓ અને બળાત્કાર કરવાની માનસિકતા ધરાવતા લોકો જ સંસદમાં બેસીને રાજ કરતા હોય ત્યાં કોને કહેવાનું? બસ લાખો લોકોએ જોયું કે આ તો આપણી જ માનસિકતા છે. અને દુનિયા હવે આપણી ચીપ માનસિકતા જાણી જશે, બસ કાગારોળ મચી ગઈ. જાતજાતની બાલીશ, અર્થ વગરની દલીલો થવા લાગી. અરે આ વિરોધમાં સ્ત્રીઓ અને તે પણ બુદ્ધિશાળી ગણાતી સ્ત્રીઓ પણ જોડાઈ ગઈ. છે ને કરુણતા? ગોરા ત્રિવેદી સાચું જ કહે છે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન પહેલી હોય છે.

મહાન કટાર લેખકો એમનો શબ્દ વૈભવ વાપરવા લાગ્યા કે લેસ્લીએ બ્રિટનમાં ૨૦૧૨માં મૂળ પાકિસ્તાનીઓ દ્વારા આચરેલા સેક્સ સ્કેન્ડલ વિષે કેમ ફિલ્મ નાં બનાવી? બનેલી છે ભાઈ જરા ગુગલ વાપરો. તો કહે પણ લેસ્લીએ જ કેમ નાં બનાવી? હહાહાહાહાહ આ ઈમેચ્યોર ગુજરાતી કટાર લેખકોને શું કહેવું? BBC ની બધી ડોક્યુમેન્ટરીઓ લેસ્લીએ જ બનાવવી પડે તેવું થોડું હોય? BBC આખી દુનિયામાં ફરીને જુદા જુદા ફિલ્મ મેકર્સ દ્વારા ડોક્યુમેન્ટરીઓ બનાવે છે. આપણા ફિલ્મ મેકર્સ પણ એમાં જોડાઈ શકે. દુનિયાનો કોઈ ખૂણો બાકી નહિ હોય જ્યાં BBC અને નેશનલ જિયોગ્રાફી પહોચીને દસ્તાવેજી ફિલ્મો નાં બનાવતું હોય. આપણું ભાંડ મીડિયા પોલિટિકલ પ્રોસ્ટીટ્યુશન કરવાથી ક્યાં કદી ઊંચું આવે છે? તે સમાજની આંખ ઉઘાડે તેવી ફિલ્મો બનાવે? યુરોપ અમેરિકામાં કોઈ પણ સ્કેન્ડલ થાય તરત એનું દસ્તાવેજીકરણ થઈ જતું હોય છે. પાપી પશ્ચિમ એ બાબતમાં દંભી નથી.

લેસ્લી ઉડવીન
લેસ્લી ઉડવીન

દ્રૌપદીની તાર્કિક બુમોનાં જવાબ આ સમાજે આપ્યા નથી. સીતાના મુક ચિત્કાર આ સમાજે સાંભળ્યા નથી, ખુદ એના પતિએ સાંભળ્યા નહોતા. એમાં સીતા ધરતીમાં સમાઈ ગઈ( સુસાઈડ કે ભૂગર્ભ)..અહલ્યા ઇન્દ્રની નાલાયકી અને ગૌતમની અન્યાયી રસમને લીધે પથ્થર જેવી બની ગઈ.. છેતરામણી ઇન્દ્રે કરી સજા એક સ્ત્રીને પડી.. કરુણતા એ જુઓ કે અહલ્યાનો ઉદ્ધાર કરનાર(રામ) એની ખુદની પત્નીનો ઉદ્ધાર ના કરી શક્યા. મમતાની ફરિયાદ આ સમાજે સાંભળી નથી. અહલ્યાની વેદના આ સમાજે જાણી નથી. બુમો પાડ્યા વગર આ સમાજ સાંભળે એવો છે ખરો? સદીઓથી સ્ત્રીઓના હક બાબતે સૂતો આ સમાજ ધમાલ કર્યા વગર સંભાળે છે ખરો? બૃહસ્પતિએ ભાઈની ગર્ભવતી પત્ની મમતા પર બળાત્કાર કરેલો, મમતાએ વિરોધ કર્યો તો દેવતાઓએ મમતાને ગાળો દીધેલી. આ દસ્તાવેજી ફિલ્મનો વિરોધ કરનારા તરીકે આજે પણ પેલાં દેવતાઓ હાજર છે.

આબરૂ નાં જતી હોય અને લોકો જાણી જતા નાં હોય તો છો ને રોજ એક જ્યોતિ મરતી? છો ને રોજ એક જ્યોતિના આંતરડા એની યોનિમાં હાથ નાખીને બળાત્કારીઓ કાઢી નાખતા? આ આપણું અસલી ચિત્ર છે. લેસ્લીની ડોક્યુમેન્ટરીનો વિરોધ કરનારા લોકોમાં બે જાતની માનસિકતા ધરાવતા લોકો છે ૧) પુરેપુરા પુરુષપ્રધાન માનસિકતાના પ્રતિનિધિ, સ્ત્રીઓને વસ્તુ સમજનારા, સ્ત્રીમાં કોઈ આત્મા છે તેવું નહિ માનનારા, બિલકુલ પેલા રેપિસ્ટ અને તેના વકીલ જેવી માનસિકતા ધરાવનારા, ૨) પેલા રેપિસ્ટ જેવી માનસિકતા નહિ ધરાવનારા પણ કાયર, કમજોર, પોતાની દીકરી ઉપર રેપ થયો હોય તો પણ કહેશે ચુપ મર સાલી સમાજમાં મારી આબરૂ જશે, છાની રહે..

વધુ ધાર્મિક, ઓછાં બુદ્ધિશાળી?

વધુ ધાર્મિક, ઓછાં બુદ્ધિશાળી?imagesGLLQ8HR8

આપણે કેટલા ધાર્મિક છીએ? આપણે કેટલા બુદ્ધિશાળી છીએ? એક નવો અભ્યાસ કહે છે જો ધાર્મિક વધુ હોઈશું તો બુદ્ધિશાળી ઓછા અને બુદ્ધિશાળી વધુ હોઈશું તો ધાર્મિક ઓછા. હવે ધર્મની હજારો વ્યાખ્યા થઈ શકે તો એ પ્રમાણે ધાર્મિકની હજારો વ્યાખ્યા થઈ શકે. તે પ્રમાણે બુદ્ધિશાળી કોને કહેવો તેની પણ હજારો વ્યાખ્યા થઈ શકે. એટલે વિવેકાનંદ, ઓશો અને ગાંધી જેવા ઈન્ટેલીજન્ટ થિંકર વધુ ધાર્મિક, વધુ બુદ્ધિશાળી હોઈ શકે છે. એટલે મારે એવા અપવાદોની વાત કરવી નથી. હું અહીં પ્રચલિત અર્થમાં ધાર્મિક એટલે ટીલા-ટપકાં કરી રોજ મંદિરોમાં અને કહેવાતા ગુરુઓ પાછળ દોટો મૂકતાં કહેવાતા ધાર્મિકોની વાત કરું છું. આવા ધાર્મિકો જેટલા વધુ ધાર્મિક એટલાં ઓછા બુદ્ધિશાળી. અથવા જેટલા વધુ બુદ્ધિશાળી એટલાં ઓછા ધાર્મિક. એટલે જેમ જેમ આપણા જીવનમાં બુદ્ધિનું તત્ત્વ-મહત્વ વધતું જાય તેમ તેમ આપણા જીવનમાં કહેવાતી ધાર્મિક માન્યતાઓનું મતલબ ધર્મનું મહત્વ ઓછું થતું જવાનું. ઘણા વધુ બુદ્ધિશાળી મિત્રોને ખાલી એક સુપ્રીમ ગોડ કે પરમ તત્ત્વ સિવાય બીજી ધાર્મિક ઇરેશનલ માન્યતાઓમાં રસ હોતો નથી. આમ કહેવાતા આસ્તિક ઓછા હોય છે તો એવા લોકોમાં સ્વાભાવિક બુદ્ધિનું તત્ત્વ વધુ જ હોવાનું.

આમેય ધાર્મિક માન્યતાઓ ઇરેશનલ હોય છે તે હકીકત છે. કોઈ પણ વાત કાર્યકારણનાં સંબંધ વગર કે કોઈ સાબિતી વગર માની લેવાનું ધાર્મિક મનમાં વધુ હોય છે, નાં તો એની પ્રયોગાત્મક કોઈ ચકાસણી થઈ હોય એટલે બુદ્ધિશાળી વ્યક્તિને તે માનવું અઘરું થઈ પડે. કોઈ બાપુ કે બાબાએ કહ્યું છે એટલે કહેવાતો ધાર્મિક તરત માની લે પણ બુદ્ધિશાળી માટે માનવું મુશ્કેલ થઈ પડે. ઇન્ટેલિજન્ટ લોકો પૃથક્કરણાત્મક વિશ્લેષણાત્મક હોય છે. સામે રિલિજસ લોકો સાયન્સ અને સાયન્ટિફિક એવિડન્સ બંનેના સીધા વિરોધમાં જ ઉભા હોય છે. બીજી રીતે જોઈએ તો ઊંચો IQ ધરાવતા લોકોને વિજ્ઞાનમાં વધુ શ્રદ્ધા હોય છે, કે વિજ્ઞાન ધર્મનો બેસ્ટ ફ્રૅન્ડ નથી જ.

મોટાભાગના સમાજોમાં નિરીશ્વરવાદી અને અજ્ઞેયવાદીઓ બહુ ઓછા હોવાના. રૅશનલિસ્ટ નો સીધોસાદો અર્થ સમજદાર, વિવેકી અને સૂઝ ધરાવનાર એવો થાય છે. કોઈ પણ વસ્તુ વિષય સમજ્યા પછી એમાં માનવું, એકદમ કોઈ કહે એટલે તરત અંધની જેમ મની લેવું નહિ. આમાં ખોટું શું છે? રૅશનલિસ્ટ, નિરીશ્વરવાદી અને અજ્ઞેયવાદી બહુ ઓછા હોય છે દરેક સમાજમાં. હવે સમજદાર, વિવેકી હોવું અને થોડી ઘણી બુદ્ધિગમ્ય વાત કરવી જે સમાજમાં પાપ ગણાતું હોય તે સમાજની ઉન્નતિ અને બૌદ્ધિક વિકાસ માટે કેટલી આશા રાખી શકાય? રૅશનલિસ્ટ, નિરીશ્વરવાદી કે અજ્ઞેયવાદીને આવા લોકો ગાળ દેવામાં પોતાની મહાનતા સમજતા હોય છે. મૂળ તો લોકોના ઇરેશનલ, સૂઝ સમજ વગરના હોવા ઉપર જ જેમનો ધંધોપાણી અને રોટલા ચાલતા હોય તેવા લોકોને સમાજ વિવેકબુદ્ધિ વાપરે તો એમના ધંધા પર ખતરો જણાતો હોય છે. માટે લોકો જેટલા બુદ્ધિ ઓછી વાપરે એમની સૂઝ સમજ ઓછી વાપરે તેટલું સારું. એટલે આવા ધર્મના ધંધાદારીઓ રૅશનલિસ્ટને ખાસ ગાળો દેવાના. પાપી પેટનો સવાલ છે. એટલે જો કોઈ મૂર્ખશિરોમણી રૅશનલિસ્ટ વિષે જાહેરમાં બકવાસ કરે ત્યારે એ અને એના સમર્થક ઉપર દયા ઉપજે છે.

બુદ્ધિશાળી લોકો સ્વતંત્ર વિચારક હોય છે. જો કે રિલિજસ અને ઇન્ટેલિજન્ટ બંનેની ગાડી જુદા જુદા પાટા ઉપર પણ એક દિશામાં અમુક બાબતોમાં સાથે જતી હોય છે. રિલિજસ માનતો હોય છે કે જગત એક સુપ્રીમ ફોર્સનાં કંટ્રોલ હેઠળ વ્યવસ્થિત ચાલે છે તો ઇન્ટેલિજન્સ અને સાયન્સમાં વિશ્વાસ તેવો જ સંતોષ આપે છે કે ભાઈ ફિઝિક્સનાં નિયમો વડે જગત વ્યવસ્થિત ચાલે છે. ધાર્મિક માનતો હોય કે સારા કર્મ કરીશું તો સારા ફળ મળશે નહિ તો પાપોની સજા ભોગવવી પડશે. આમ બીકનો માર્યો સીધો ચાલવા પ્રયત્ન કરતો હોય છે જ્યારે ઇન્ટેલિજન્સ આંતરિક મેન્ટલ પાવર વધારી સેલ્ફ કંટ્રોલ વધારે છે. રિલિજસ માનતો હોય કે હું બહુ સારો માનવી છું કારણ હું વધુ રિલિજસ છું. તો સામે ઇન્ટેલિજન્ટ પણ એવું જ માનતો હોય છે કે હું બેટર છું કારણ હું સ્માર્ટ છું. છેલ્લે સામાજિક પ્રાણી હોવાને લીધે ધાર્મિકોને એમના જેવા ટોળામાં વધુ સલામતી અને વધુ સામાજિકતા લાગે તે સ્વાભાવિક છે. તો સામે ઇન્ટેલિજન્ટ ને પણ સમાન વિચારસરણી ધરાવતા લોકો સાથે વધુ ફાવે તે હકીકત છે.

આપણે ત્યાં તો ભણતર કે ડિગ્રી ઉપર પણ જવાય તેવું નથી. ડિગ્રી ફક્ત એક ટેકનિકલ સ્કિલ્ડ લેબર સિવાય કશું વધારે હોતી નથી. હું અમદાવાદimagesPHRCBQQ5 એક કૉલેજના પ્રિન્સિપાલની ઑફિસમાં ગયેલો મારા એક સંબંધી જોડે. પહેલું તો અમારે અમારા શૂઝ કાઢવા પડેલા ઑફિસમાં એન્ટર થતા. પ્રિન્સિપાલની ઓફિસ કરતા જાણે મંદિરમાં જતા હોઈએ તેવું વધુ લાગેલું. ઑફિસમાં જ એમણે મંદિર બનાવી દીધેલું. હવે આ કહેવાતા Intellectual મિત્ર જેને હું તો બુદ્ધુ જ માનું છું, સાથે વાતો થઈ તો એમણે પૂછ્યું, ‘અત્યાર સુધી શું કર્યું જીવનમાં? એનો હિસાબ સ્વર્ગ કે નર્કમાં માગે તો શું જવાબ હશે તમારો? આ ભગવાને સર્જન કર્યું છે માનવજાતનું. તો કેટલો સમય લઈને માનવ ઘડ્યો હશે? ને કંઈક વિચારીને જ આપણને જગતમાં મોકલ્યા હશે ને? એક ઉદ્દેશને લઈને? શું એ પરિપૂર્ણ થયો છે ખરા? કે થશે ખરા?’

મારી સાથે આવેલા સંબંધી વિચારતા થઈ ગયા. એક અપરાધભાવ અનુભવવા લાગેલા, જાણે પોતે દીનહીન. સામે મહાન ધર્માત્મા જો બેઠેલા હતા. મારો પિત્તો હટી ગયેલો.

મેં કહ્યું, ‘સાહેબ ભગવાન સર્વજ્ઞ અને સમર્થ છે બરોબર?’

તો કહે,  ‘હા ભગવાન તો સર્વજ્ઞ અને સમર્થ જ હોય ને?’

તો પછી એણે જે કરવું હોય તે જાતે જ કરી લે ને? આપણને ઘડે પછી પૃથ્વી ઉપર મોકલે એવા બધા નાટક કરવાની એને ક્યાં જરૂર છે?’ મેં કહ્યું.

મારા સંબંધી થોડા ગભરાઈ ગયેલા કે, આમણે ક્યાં સામે મોરચો માંડ્યો?

મેં કહ્યું, ‘ભગવાન તો સર્વજ્ઞ છે તેને તો ખબર જ હોય કે આ હિટલરને ઘડીને મોકલીશ તો મારા જ ઘડેલા ૬૦ લાખ નાના બાળકો સાથેના યહૂદીઓને જીવતા ગેસ ચેમ્બરમાં શેકી નાખશે. શું ભગવાને એને ૬૦ લાખ યહૂદીઓને શેકી નાખવા મોકલ્યો હતો? ચાલો એવા કામ કરવા નહોતો મોકલ્યો અને હિટલરે એવા ખરાબ કરી નાખ્યા તો એનો મતલબ તમારો ભગવાન સર્વજ્ઞ છે જ નહિ. એને ખબર હોતી જ નથી કે હું જેમને ઘડીને મોકલું છું તે ત્યાં પૃથ્વી પર જઈને શું કરશે? અથવા તો હિટલરનો અને યહૂદીઓનો ભગવાન જુદો જુદો છે. કારણ હિટલર તો માનતો જ હતો કે એ સ્પેશલ યહૂદીઓનો નાશ કરવા જ જન્મ્યો છે. ભગવાનની મરજી વગર પાંદડું પણ હાલતું નથી મતલબ ભગવાનની મરજી જ હતી કે ૬૦ લાખ યહૂદીઓ મરે કે ભોપાલમાં ૧૦ હજાર માનવીઓ ઝેરી ગેસથી મરે.’

મારી વાતોનો એમની પાસે કોઈ જવાબ હતો જ નહિ. તરત બીજી વાતોએ વળગી ગયા. અમે એમના મંદિર કમ ઑફિસમાંથી બહાર નીકળ્યા. મારા સંબંધી કહે પહેલા તો હું એમની વાત સાંભળી પોતાને ગિલ્ટી માનતો થઈ ગયેલો પણ તમારી વાત સાંભળી તે ગિલ્ટ નીકળી ગયો.

મેં કહ્યું, આવા લોકો ભોળી પ્રજાને ગભરાવે છે. પોતે મહાન હોય તેમ સવાલ પૂછે છે. સવાલ પૂછીને પોતાને એક પગથિયું ઊંચે મૂકીને તમને નીચા સાબિત કરતા હોય છે. આ ભલે ડિગ્રીધારી પ્રિન્સિપાલ હોય પણ ઈન્ટેલેકચ્યુઅલ છે જ નહિ. એક સ્કિલ્ડ મજૂર અને આમાં કોઈ ફરક નથી. કુદરતે અચાનક માનવી પેદા કર્યો જ નથી. એક કોશી જીવથી માંડીને આજના માનવી સુધી ઉત્ક્રાંતિ થતા કરોડો વર્ષો નીકળી ગયા છે. રિચાર્ડ ડોકિન્સ કહે છે આપણા પૂર્વજ માછલી હતા અને પ્રાચીન ભારતીયો કહે છે ભગવાનનો પહેલો અવતાર માછલી રૂપે આ બે વાતમાં કેટલું બધું સામ્ય છે. આ રૂપક આપણે સમજ્યા નહિ અને કહેવાતા બુદ્ધિશાળી વેપારીઓએ સમજવા દીધું નહિ. ભગવાન ગણો કે કુદરત ગણો તેના માટે એક કીડી, એક હાથી અને એક માનવી સરખાં મહત્વના છે. હા ઉત્ક્રાંતિનાં ક્રમમાં વિકાસના ક્રમમાં તમે વધુ બુદ્ધિશાળી છો તેટલા પૂરતા સ્પેશલ છો બાકી કાઈ નહિ.

પેક(pack) થિંકર અને ઇન્ટેલિજન્ટ થિંકરમાં બહુ ફરક હોય છે.

Culture Can Kill :- Shri Subodh Shah

શ્રી. સુબોધ શાહે ‘Culture Can Kill’ નામનું અંગ્રેજીમાં બહુ સરસ આપણને વિચારતા કરી દે તેવું પુસ્તક લખ્યું છે. આ જગત સતત પરિવર્તનશીલ છે. સંસ્કૃતિઓ પણ પરિવર્તનશીલ નાં બને તો ઘાતક પુરવાર થતી હોય છે, અને જો આ પરિવર્તન પ્રોસેસ એટલો બધો ધીમો હોય લગભગ સ્થિર જેવો તો બીજી સંસ્કૃતિઓની સરખામણીએ આપણે વિકાસના ક્રમમાં બહુ પાછળ પડી જતા હોઈએ છીએ. શ્રી. સુબોધ શાહે આપણી ખુદની સંસ્કૃતિ, પરમ્પરા અને માન્યતાઓ આપણા માટે કઈ રીતે ઘાતક પુરવાર થાય છે અને આપણને કઈ રીતે વિકસતા અટકાવે છે તે બહુ સરસ રીતે સમજાવ્યું છે. હવે આ પુસ્તકને વાંચવું સમય માંગી લે તેવું છે; તો શ્રી. સુબોધ શાહે ‘તેજીને ટકોરો’ ન્યાયે એની ચિત્રાત્મક રજૂઆત ખુબ મહેનત લઈને કરી છે. ફક્ત આ ચિત્રો જુઓ, વાંચો અને પુસ્તકનો સાર ગ્રહણ કરો. આ પુસ્તકની પ્રિન્ટેડ કોપી જોઈતી હોય તો અહી ક્લિક કરો Culture Can Killculture can kill new.1culture can kill new.2culture can kill new.3culture can kill new.4culture can kill new.5culture can kill new.6culture can kill new.7culture can kill new.8culture can kill new.9culture can kill new.10culture can kill new.11culture can kill new.12culture can kill new.13culture can kill new.14culture can kill new.15culture can kill new.16culture can kill new.17culture can kill new.18culture can kill new.19culture can kill new.20culture can kill new.21culture can kill new.22culture can kill new.23culture can kill new.24culture can kill new.25culture can kill new.26culture can kill new.27આ ચિત્રાત્મક રજૂઆત અહીં કરવા દેવાની મંજૂરી આપવા

આપણા અસુરક્ષિત વૈજ્ઞાનિકો

bhabha

મુંબઈ  હાઈકોર્ટમાં ચેતન કોઠારી નામના એક એક્ટિવિસ્ટે એમના વકીલ આશિષ મહેતા દ્વારા RTI ની રૂએ એક જાહેર હિતની અરજી કરી છે. એમની અરજી મુજબ ભારતીય પરમાણુ સંસ્થાનમાં કામ કરતા મહત્વના વૈજ્ઞાનિકોના રહસ્મય મોતની તપાસ કરવા એક તપાસ ટીમનું ગઠન થવું જોઈએ.

૧૯૬૬માં ભારતના મહત્વના અણુવૈજ્ઞાનિક ડૉ હોમી જહાંગીર ભાભાનું પ્લેન ક્રેશ થવાથી મોત થયેલું. એમણે એમના મૃત્યુ પહેલા જાહેરમાં કહેલું કે ટૂંક સમયમાં ભારત ન્યુક્લિયર ડીવાઈસ બનાવવા સક્ષમ થશે. માઉન્ટ બ્લાન્ક નજીક સ્વિસની આલ્પ્સ પર્વતમાળામાં એમનું વિમાન તૂટી પડેલું નવાઈની વાત એ કે તૂટી પડેલા પ્લેનનો ભંગાર પણ અદ્રશ્ય હતો. ચાલો તે મૃત્યુ કદાચ અકસ્માત હશે પણ ૨૦૦૯ થી ૨૦૧૩ સુધીમાં DAE (Department of atomic energy) માં કામ કરતા દસ વૈજ્ઞાનિકોના રહસ્યમય મોત થયા છે.

લોકનાથન મહાલીન્ગમ નામના ૪૭ વર્ષના, કર્ણાટકમાં આવેલા એટોમિક પાવર સ્ટેશનનાં(Kaiga atomic power station) સિનીયર સાયન્ટીફીક ઓફિસર, ૮ જુન ૨૦૦૯ ની વહેલી સવારે મોર્નિંગ વોક કરવા નીકળ્યા કદી પાછા ફર્યા નહિ. પાંચ દિવસ પછી એમની વિક્ષત લાશ કાલી નદી નજીકથી મળી. પોલીસે આત્મહત્યાનો કેસ બનાવી દીધો જે એમના કુટુંબીઓને કદી મંજુર નહોતો. ભારતીય મીડીયાએ આ સમાચારને હેડલાઈન સમાચાર બનાવવાનું મુનાસીબ સમજ્યું નહિ. દસ દિવસ પછી ટૂંકા સમાચાર પ્રગટ થયા કે આ એક આત્મહત્યા હતી અને વૈજ્ઞાનિક કોઈ મહત્વના દસ્તાવેજ સાથે ધરાવતા નહોતા.

BARC ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરમાં કામ કરતા બે યુવાન વૈજ્ઞાનિકો ઉમંગસિંઘ અને પાર્થ બાગનું લેબમાં જ કામ કરતા સળગી જવાથી મોત થયું, કે લેબમાં જ્વલનશીલ પદાર્થોની ગેરહાજરી હતી. ડીફેન્સ મીનીસ્ટ્રી આને રૂટીન અકસ્માત ગણાવે છે અને સામાન્ય પોલીસ ઓફિસર જ એની તપાસ કરતો હોય છે.

BARC માં કામ કરતા મિકેનીકલ એન્જિનિયર મહાદેવન પદ્મનાભન ઐયરનું સાઉથ મુંબઈના એમના ફ્લેટમાં ફેબ્રુઆરી ૨૦૧૦મા મોત થાય છે, થોડા લોહીના ડાઘા સિવાય આખું ઘર વ્યવસ્થિત જ હતું, મર્ડર મિસ્ટ્રી હજુ ઉકેલાઈ નથી.

ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રીસર્ચ સંસ્થામાં કામ કરતા ૨૪ વર્ષના યુવાન વૈજ્ઞાનિક મોહમ્મદ મુસ્તુફા નામના વૈજ્ઞાનિકની લાશ એમના ક્વાટરમાંથી મળે છે પોલીસને ડેથ નોટ એમના હાથે લખેલી મળે છે પણ આત્મહત્યા કરવા માટેનું કોઈ કારણ જડતું નથી.

ન્યુક્લિયર પાવર કોર્પોરેશનમાં કામ કરતા રવિ મુલે અને ઉમા રાવનું મોત પણ રહસ્યમય છે. પરમાણુ શક્તિ વડે ચાલતી INS અરીહંત સબમરીનનાં બે એન્જિનિયર કે.કે.જોશ અને અભિષ શિવમ વિશાખાપટ્ટનમમાં એક રેલવે ટ્રેક પર મૃત્યુ પામેલા ઓક્ટોબર ૨૦૧૩મા મળી આવેલા છે. એમના દેહ પર કોઈ રહસ્યમય ચિન્હો  દેખાતા નથી કે ટ્રેન દ્વારા એમના મૃતદેહો કચડાયેલા પણ નથી. એમના કુટુંબીઓનો આક્ષેપ છે કે બીજે ક્યાંક મારી નાખીને અહીં ફેંકી દેવાયા હોવા જોઈએ.

ભારત સરકારે જાતે કબુલ્યું છે કે ફક્ત ત્રણ વર્ષના સમયમાં BARC અને KAIGA માં કામ કરતા વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સનાં થઈ ને કૂલ નવ જણાનાં મોત રહસ્યમય છે જેમાં ફક્ત બે આત્મહત્યા જણાઈ છે બાકીની ખબર નથી પડતી.

બીજા કોઈ દેશમાં આવા વૈજ્ઞાનીકોના મોત થયા હોય તો કલશોર મચી જાય પણ અહીં ચાલી જાય. અહિ શાહરુખને તાવ આવે કે સોનમને સ્વાઈન ફ્લ્યુ થઈ જાય તો ચોક્કસ કલશોર મચી જાય. એક મિત્રે બહુ કડવું સત્ય કહેલું કે ભારતની પ્રજા ડેવલપમેન્ટ ચાહક નહિ એન્ટરટેઈનમેન્ટ ચાહક છે. વિકાસ નહિ મનોરંજન જોઈએ. એટલે જ મનોરંજન આપતા લોકો અહીં તરત હીરો બની જતા હોય છે. લોકોને માનસિક દિલાસા જોઈએ એટલે ઠગ ધર્મગુરુઓ તરત હીરો બની જતા હોય છે. નેતાઓ તો છાશવારે ગમે તેમ બકવાસ કરી મનોરંજન પૂરું પાડતા જ હોય છે. હહાહાહાહાહાહાહ

મનોરંજન જીવનમાં બહુ અગત્યનું છે. એના લીધે આપણે રૂટીન લાઈફના કંટાળાજનક તણાવમાંથી મુક્ત થઈ જતા હોઈએ છીએ. પણ મનોરંજન પૂરું પાડનારાઓને હળવાશથી લેવા જોઈએ. એમને હીરો બનાવી એમની પૂજામાં રત રહેવું કોણે કીધું? અને આ લોકો મફતમાં મનોરંજન તો પૂરું પાડતા નથી અઢળક પૈસા વસુલે છે, અઢળક કમાય છે.

જે દેશ માટે જીવ આપે છે, દેશના વિકાસ માટે રાતદિવસ રીસર્ચ કરીને અને એનો સ્ટ્રેસ વેઠીને પણ કામ કરે છે તેમનો પગાર કેટલો? તેમનું દેશમાં માનપાન કેટલું? તેમની સુરક્ષા કેટલી?

અને જે લોકો પોતાના ફાયદા માટે રમે છે, પોતાના ફાયદા માટે મનોરંજન પૂરું પાડે છે, જેઓ પ્રજાનું હમેશાં શોષણ કરે છે, જેઓ નકલી દિલાસા આપવાની અઢળક કિંમત વસુલે છે તેમનું માનપાન કેટલું બધું હોય છે? એમની આવક પણ કેટલી બધી હોય છે?

આપણા હીરો લુચ્ચા ક્રિકેટર્સ, લફંગા ફિલ્મી ભવાયા, ભ્રષ્ટ નેતાઓ અને ગીધ જેવા ધર્મગુરુઓ છે.

માહિતીસ્ત્રોત: સન્ડે ગાર્ડિયન, ટ્રુથ આઉટ, ધ ન્યુઝ મિનીટ

પ્રીત કિયે સુખ હોય, હમેશાં નહિ…

પ્રીત કિયે સુખ હોય, હમેશાં નહિ…imagesXZNYX2E5

પ્રેમ સુખ આપતી બહુ સુંદર લાગણી છે. તો સાથે સાથે દુઃખ પણ આપે છે તે હકીકત છે. પ્રેમ સુખ આપે છે એનું મુખ્ય કારણ પ્રેમ સામાજિક સુરક્ષા આપે છે. કોઈના પ્રેમમાં હોઈએ કે પ્રેમી જન સાથે બેઠાં હોઈએ ત્યારે તેના ઉપરના વિશ્વાસને લીધે સુરક્ષા અનુભવાય છે ત્યારે બ્રેનમાં પ્રેમ અને વિશ્વાસનું જનક ન્યુરોકેમિકલ ઓક્સિટોસીન સ્રાવ થતાં અનહદ આનંદ અનુભવાય છે. આ જીવનમાં ખૂબ સંઘર્ષ હમેશાં હોય છે. એટલે આપણે તેની સામે લડવા આપણા હથિયાર(માનસિક) હમેશાં સજાવેલા રાખવા પડતાં હોય છે. એટલે જ્યારે પ્રેમમાં હોઈએ ત્યારે ઓક્સિટોસીનને લીધે જે સલામતી અને સુરક્ષિત આપણી જાતને અનુભવીએ છીએ ત્યારે સંઘર્ષ સામે સજાવેલા હથિયાર જરા હેઠાં મૂકી દેવાતા હોય છે કે ચાલો હમણાં સલામતી છે માનસિક-બંદૂક હવે જરા ખૂણે મૂકો. તો સાથે સાથે આપણે જ્યારે હથિયાર હેઠાં મૂકીને બેઠાં હોઈએ ત્યારે બ્રેન જરા વધુ સંવેદનશીલ હોય તે સ્વાભાવિક છે. તો આવા સમયે જરાપણ અણસાર આવે જોખમનો, બ્રેન તરત આપણને સચેત કરતું દુઃખ આપતું કે સંભવિત દુઃખનો અણસાર આપતું કોર્ટીસોલ(cortisol) નામનું ન્યુરોકેમિકલ સ્રાવ કરે છે. આવા સમયે પ્રેમીને કે સાથીદારને બ્લેમ કરવા માંડીએ તો પરિસ્થિતિ ખરાબથી વધુ ખરાબ તરફ ગતિ કરવા માંડે છે. મતલબ પ્રેમ વધુને વધુ દુઃખદાયી બનવા લાગે છે.

દાખલા તરીકે એક હરણ એના ટોળામાં આરામથી ઘાસ ચરતું હોય છે. એને ખબર હોય છે કે કોઈ જોખમ આવશે; કોઈ શિકારી પ્રાણી આવશે તો બીજા હરણ તરત ચેતવશે. એટલે તે આરામથી બેફીકર થઈ ઘાસ ચરવાની મજા માણતું હોય છે. સલામત અને સુરક્ષિત હોવાની લાગણી ઓક્સિટોસીનને લીધે અનુભવાય છે. આમ કાયમ ઓક્સિટોસીનની મજા મારવાનું કોને નાં ગમે? પણ મેમલિયન બ્રેન તે માટે ડિઝાઇન પામેલું નથી. અચાનક પેલાં બેફીકર હરણને ચરતું છોડી એને જોખમમાં મૂકી બીજા હરણ આગળ વધી જતાં હોય છે. ટોળું આગળ વધી જતા એકલું પડેલું હરણ કોર્ટીસોલ સ્રાવ વધતાં થોડું ચિંતાતુર થઈ જશે પણ એની આ દુઃખદાયી લાગણી બદલ એના સાથી હરણોને બ્લેમ કર્યા વગર તરત પોતાના થોડીવાર માટે હેઠાં મૂકેલા હથિયાર ઊચકી લેશે મતલબ એલર્ટ થઈ જશે અને ફરી હથિયાર હેઠાં મૂકવાની પળો મળે તેની રાહ જોશે.

ધારી લો કે આપણે વાનર છીએ. વાનરોની એક બહુ મોટી ખાસિયત હોય છે બે ભેગાં થાય એટલે વિશ્વાસ સંપાદન કરવા ગૃમીંગ કરવાનું શરુ. એકબીજાના વાળ ફંફોસીને પરોપજીવી શોધી સીધા મોઢામાં. આમાં પ્રેમ અને વિશ્વાસ સંપાદન કરવાનો મુખ્ય હેતુ હોય છે. આ પ્રેમ દર્શાવવાની એમની આગવી રીત છે. હવે ટોળાનો કોઈ આપખુદ આવીને આપણને ધમકાવે ત્યારે આપણે વિચારીએ કે આપણો સાથી આપણને મદદ કરે આપણી પડખે ઊભો રહે તેવી આશા રાખીએ. પણ દર વખતે એવું બને નહિ. આપણે જેનું ગૃમીંગ કરતા હોઈએ તે મેદાન છોડી ભાગી પણ જાય આપણને એકલાં મૂકીને અને આપણે પેલાં આપખુદ સામે જાતે જ પોતાનું રક્ષણ કરવું પડે. ત્યાર પછી આપણે હવે શું કરીશું? વાનર હોઈશું તો નવો સાથીદાર શોધી લઈશું.

પણ આપણે માનવો બીજા મેમલ્સની કમ્પેરીજનમાં બહુ કૉમ્પ્લેક્સ સામાજિક વ્યવસ્થા ધરાવીએ છીએ કેમકે આપણી પાસે બીજા મેમલ્સની સરખામણીએ બહુ મોટું વિચારશીલ મગજ છે. મોટાભાગના ચિમ્પેન્ઝી એકાદ આંગળી કે અંગૂઠા ગુમાવી ચૂકેલા હોય છે કારણ આસપાસ ફરતા ખોટાનો વિશ્વાસ રાખી પેલાં એલર્ટ-હથિયાર હેઠાં મૂકીને ફરતા હોય. એટલે ઘણી વખત આપણો પાર્ટનર મુશ્કેલીમાં મદદ કરવા બાજુમાં ઊભો હોય; ઘણી વખત નાં પણ ઊભો હોય. એટલે આપણે ઓક્સિટોસીન આનંદ કાયમ માણવા મળે તેવું ઇચ્છતા હોઈએ છીએ પણ અચાનક હકીકતનું ભાન થાય છે કે આપણો સાથીદાર એની પોતાની અંગત જરૂરિયાતો સહિત કંઈક અલગ વ્યક્તિ છે. ત્યારે ઓક્સિટોસીન લેવલ નીચે જાય છે અને કોર્ટીસોલ લેવલ ઉંચે જાય છે; અહીં પ્રેમ પીડા આપે છે. અને પ્રેમ પીડાદાયક બને ત્યારે આપણે શું કરીશું?

આપણે બચપણ કે યુવાનીમાં આસપાસ જે જોયું હશે, બીજા લોકોને આવા સમયે જે રીતે વર્તણૂક કરતા જોયા હશે તે જાણે અજાણે નિરીક્ષણ કર્યું હશે અને તે નિરીક્ષણ બ્રેનમાં મિરર ન્યુરોન્સ એક્ટીવેટ કરીને બ્રેનમાં એક નાની નાની પગદંડીઓ બનાવતું હોય છે તે પ્રમાણે આપણે આવા સમયે વર્તન કરતા હોઈએ છીએ. દાખલા તરીકે પ્રેમ પીડા આપે ત્યારે પતિ-પત્ની જે એકબીજા ઉપર બ્લેમ કરતા હોય તે ઘરમાં નાના બાળકો જાણે અજાણે જોતા હોય અને તે પ્રમાણે એમના બ્રેનમાં પાથવે બનતા જતા હોય છે. જ્યારે પ્રેમ તેમને પીડા આપે ત્યારે તેઓ પણ તે રીતે જ વર્તન કરતા હોય છે. છતાં જરૂરી નથી કે તેવું જ વર્તન રીપીટ થાય. આપણે ઘણું બધું આસપાસનું નિરીક્ષણ કરીને કંઈક નવું ભણીને, શીખીને, નવું વિચારીને નવા ન્યુરલ રસ્તા બનાવી શકીએ છીએ.

કોર્ટીસોલને મેનેજ કરવાનું અઘરું પડતું હોય છે એના બદલે સાથીદાર હમેશાં આપણે ખુશ રાખે તેવું ઇચ્છવું વધુ સહેલું છે. પણ આ અપેક્ષા કાયમ પૂરી થાય તે જરૂરી નથી એટલે અસ્વસ્થ બની જવાતું હોય છે. એકબીજામાં સમાઈ જવાની મહેચ્છા ન્યુરોકેમિકલ ધક્કો, પ્રેરણા, લાગણીનો આવેગ, આવેશ, ઓચિંતો હડસેલો છે, એ સિદ્ધ નાં થાય, એમાં સફળતા ના મળે તો કશું સમાપ્ત થઈ જતું નથી.

कहा चला ए मेरे जोगी, जीवन से तू भाग केimages0AE20KD0

किसी एक दिल के कारण, यूँ सारी दुनिया त्याग के

छोड़ दे सारी दुनिया किसी के लिए

ये मुनासिब नहीं आदमी के लिए

प्यार से भी जरूरी कई काम हैं

प्यार सब कुछ नहीं जिन्दगी के लिए

तन से तन का मिलन हो न पाया तो क्या

मन से मन का मिलन कोई कम तो नहीं

खुशबू आती रहे दूर ही से सही

सामने हो चमन कोई कम तो नहीं

चाँद मिलता नहीं, सब को संसार में

है दिया ही बहोत रोशनी के लिए

कितनी हसरत से तकती है कलियाँ तुम्हें

क्यों बहारों को फिर से बुलाते नहीं

एक दुनियाँ उजड़ ही गई है तो क्या

दूसरा तुम जहाँ क्यों बसते नहीं

दिल ना चाहे भी तो साथ संसार के

चलाना पड़ता है सब की ख़ुशी के लिए

પ્રેમીજનનાં સાથ સહકાર, સોબત, સાન્નિધ્ય, સમીપતા વડે મળતી સલામતીનો આનંદ ઉઠાવતી વખતે આપણા આંતરિક જોખમ સૂચક વ્યવસ્થા(internal threat-detector) પ્રત્યે જવાબદાર રહેવું કે જેના માટે આપણું બ્રેન આકૃતિ પામેલું છે.

પ્રીત કિયે સુખ હોય, પ્રીત કિયે દુઃખ પણ હોય.