યાદે વતન-૧

 

યાદે વતન-૧

પરદેશમાં રહેતા હોય એને વતનની યાદ વધુ સતાવતી હોય તે દેશમાં વતનમાં રહેનારને સમજાય નહિ. વતનમાં કશું ખોટું થતું હોય, કોઈ સિસ્ટમમાં ખામી હોય તે વતનમાં રહેનારને જલદી જણાય નહિ કારણ તેઓ એનાથી ટેવાઈ ગયા હોય છે. ઘણીવાર તો આ બાબત ખોટી છે તેવી માહિતી જ હોતી નથી એમના બ્રેનમાં. કારણ બચપણથી એવું જોએલું હોય એટલે બ્રેનમાં એવી જ સર્કીટ બનેલી હોય કે આ તો નોર્મલ કહેવાય. જ્યાં ત્યાં થૂકી નાખવું આપણે ત્યાં બ્રેનમાં બનેલી સર્કીટ પ્રમાણે નોર્મલ કહેવાય. જોરશોર થી વાતો કરવી કે આખું ગામ સાંભળે તેમ ફોન પર વાત કરવી નોર્મલ કહેવાય. સ્વચ્છતા નહિ જાળવવી તે પણ નોર્મલ કહેવાય. તમાકુ સાથે ચૂનો  જાણે પ્રેમિકાને આક્રમકતા સહ પંપાળતા હોય તેમ હથેળીમાં તર્જની વડે મસળી, એક હથેળીમાંથી બીજી હથેળીમાં આલ્હાદક રીતે પ્રેમિકાને સહેલાવતા હોય તેમ ખંખેરી, ફરી પાછું બીજી હથેળીમાં એનું પુનરાવર્તન કરી, સારી સારી મસળાયેલી તમાકુ પાછી એક હથેળીમાં ભેગી કરી તેને સડેલા દાંત, સુજેલા પેઢા અને ગંદા હોઠ વચાળે આસનસ્થ કરાવી, એક હથેળીમાં તમાકુનો વધેલો ઝીણો ભૂકો આજુબાજુ જોઈ જ્યાં બેઠા હોય ત્યાં ભલે નીચે મોંઘા ભાવની ચમકતી ટાઈલ્સ વીજળી સરીખા ઝબકારા મારતી હોય તેના પર પધરાવી દેવાનું નોર્મલ ગણાય. ૫૦ વર્ષની જિંદગીમાં આવી આવી તો હજારો બાબતો મને પણ નોર્મલ જ લાગતી હતી. આવી તો હજારો બીમારીઓ મને પણ નોર્મલ નહિ ભવ્યાતિભવ્ય સંસ્કૃતિનો એક ભાગ જ લાગતી હતી અને એનું મને ગૌરવ પણ હતું.

મારા એક મિત્ર ભારતથી આવેલા દસ વર્ષના વિસા ઉપર. આવા વિસા પર છ મહિનાથી વધુ રહેવા ના દે. પછી ભારત જઈ અમુક સમય પછી ફરી આવવાનું. એમનો ઈરાદો આવી રીતે વારંવાર આવી અહીં ગેરકાયદે નોકરી કરી પૈસા કમાવાનો હતો. જુના મિત્ર દાવે હું થોડા દિવસ મારે ઘેર લઈ આવ્યો. અહીં અમે બધાં આખો દિવસ જોબ કરી અમે કંટાળ્યા હોઈએ રાત્રે સરખી ઊંઘ તો જોઈએ ને? આમને રાત પડે ભારત પત્નીને ફોન કરવાનું મન થાય કારણ ત્યાં દિવસ હોય. વાતચીત કરે ફોન કરે એનો પણ કોઈ વાંધો નહિ, પણ આમને તો આજુબાજુના ચાર ઘર સાંભળે તેમ મોટેથી વાતો કરવા જોઈએ અને હસે તો આખી સ્ટ્રીટ જાગી જાય. ઘરમાં છોકરા બિચારા જાગી જાય પણ મારી શરમના માર્યા બોલે નહિ. પછી મારે તેમને કહેવું પડ્યું કે વાતો કરો પણ ધીમેથી કરો અહીં બધા આખો દિવસ કામ કરે છે રાત્રે ઊંઘવા તો જોઈએ કે નહીં? એમને ખોટું લાગ્યું. ફોન પર ધીમેથી વાતો કરવાનું આપણે જૂની પેઢીના માણસોએ નવી પેઢી પાસેથી શીખવું જોઈએ. આવી આવી તો અનેક વાતો છે જે આપણને નોર્મલ લાગતી હોય છે.

ખેર, માણસા કોલેજમાં અકસ્માતે પ્રવચન ઠોકવું પડ્યું તેના ફોટા ફેસબુક પર શેઅર કર્યા. પછી શંખેશ્વરથી ફેસબુક મિત્ર કે.ડી. રાઠોડ એમના બીજા બે મિત્રો સાથે અગાઉથી ફોન પર વાત કરી મુલાકાત ગોઠવી છેક માણસા આવી પહોચ્યા. સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોનો કોઈ પ્રોગ્રામ હતો એમાં મારે પોણો કલાક બોલવું તેવો એમનો આગ્રહ હતો. અને તે માટે ઇન્વાઇટ કરવા તેઓ ખાસ રૂબરૂ આવેલા. કે.ડી. રાઠોડ મારા જુના વાચક અને ચાહક છે. ખુબ વાતો કર્યા પછી પણ એમને જવાનું મન નહોતું થતું પણ સમય રોકાતો નથી. મારું પુસ્તક મેં એમને ભેટ આપ્યું. એમની સાથે આવેલા બાપુ નવઘણસિંહ વાઘેલા શિક્ષક વત્તા લોકગાયક છે. એમણે એક સરસ દુહો હિંદની રાજપુતાણીઓ વિષે આમ રૂવાંડા ઉભા થઈ જાય તેવો લલકાર્યો.

શંખેશ્વર જતાં પહેલા મારા મોટા બહેનનાં ઘેર ઈડર બાજુ જઈ આવ્યાં. બહેનના ઘેર નાનું સરખું રજવાડું જ છે. મૂળે રોયલ ફેમિલી એમાંય રાજસ્થાનના રાઠોર વંશજો. ખાણીપીણીનાં દોર ચાલુ જ હોય. નાના બાળકને પણ માન દઈને બોલાવવાના રિવાજો. ખુબ મેનર જાળવવી પડે. ચાર ભાઈઓ વચ્ચે એક જ બહેન. પિતાશ્રીએ બહેનને ક્યારેય ટપલી પણ મારી નહિ હોય. અમારા રાજપૂતોમાં દીકરીઓને ટપલી મારવાનો ય રીવાજ છે જ નહિ. બહેનનાં ઘેર મોજમસ્તીમાં મશગૂલ હતાને એક દિવસ લેપટોપ ચાલુ કર્યું ને એક ગ્રુપ તરફથી મેસેજ મળ્યા કે તમારી પાછળ ષડયંત્ર તમને બદનામ કરવાનું ચાલુ થયું છે, સોશિયલ મિડિયા ઉપર. મારી ભૂલ કે મેં સુંદર ના હોય પણ નાજુક હોય એવી કમઅક્કલ લેખિકા વિષે કોઈ જગ્યાએ કમનીય શબ્દ વાપરેલો. કમનીયનો પ્રચલિત અર્થ નાજુક થાય અને બીજો અર્થ સુંદર થાય. આ મહિષી એને સેક્સી સમજી બેઠી. આવી મહિષી સાદા ગુજરાતી શબ્દોના અર્થ ના સમજતી લેખિકાઓ બની જતી હોય એમાં કોઈ વાંધો નહિ પણ ચિત્રલેખા જેવા માતબર સાપ્તાહિકમાં લખતી હોય તે બાબતે ગુજરાત સમાચારના એક જાણીતા લેખક, પત્રકાર, સ્તંભ લેખક, અને નવલકથાકારે એમની સાથેની અંગત મુલાકાતમાં આશ્ચર્ય વ્યક્ત કરેલું. મારા ચાહક મિત્રો એને મુહતોડ જવાબ આપવા મારી રાહ જોતા હતા કે બાપુ કેમ હજુ મેદાનમાં આવ્યા નથી? અને હું અણજાણ ઈડર બાજુ મોજમસ્તીમાં રમમાણ હતો. ખેર મારી ભૂલ હોય તો હું નાના બાળકની પણ માફી માંગી લઉં, બાકી ભગવાનની પણ માફી નો માંગુ. ખેર એ પ્રકરણ તો પૂરું થઈ ગયું પણ એની ચર્ચા તો મુંબઈની પાર્ટીઓમાં પણ થઇ ગઈ. શંખેશ્વર પહોચતાં થોડા મોડા પડ્યા પણ ૪૦૦ શિક્ષકો સામે પ્રવચન આપવામાં બહુ મજા પડી ગઈ. કે.ડી. રાઠોડ બહુ સારા આયોજનકાર તેમાં કોઈ શક નહિ. પાટણની જગવિખ્યાત રાણકી વાવનું ચિત્ર મને યાદગીરી તરીકે ભેંટ આપ્યું. શાલ પણ આપી. મારા ભાઈએ પણ ગ્લોબલ વોર્મિંગ વિષે સરસ માહિતી આપી. ભાઈ વિક્રમસિંહ પણ પડછાયાની જેમ એમની કાર સાથે હાજર જ હતા. આ વિક્રમસિંહ વિષે વાત નહિ કરું તો મને ચેન નહિ પડે. એમના દાદા જગતસિંહ અને મારા પિતાશ્રી મિત્ર હતા. અમે એમના ઘરની બાજુમાં બનાવેલ ગાર્ડનમાં બેડમિન્ટન ખૂબ રમતા. એમની છાપ બહુ માથાભારેની. પણ મારા માટે નાનાભાઈ જેવા. મને કહે બે મહિના હક રજાઓ નોકરી ઉપર મૂકી દઉં અને તમારા માટે કાર સાથે હાજર રહું. મેં માંડ માંડ સમજાવ્યા કે જરૂર પડશે બોલાવી લઈશ. આ વિક્રમસિંહ મારા માટે જીવ આપી દે તેવા ભાઈબંધને ભાઈ કહેવો વધુ સારો.

શંખેશ્વરમાં પ્રવચન આપતાં સામે શિક્ષકો જ હતા તો મેં એક સામાન્ય દાખલો ગણવા આપ્યો કે રોજ આ મોંઘવારીમાં એક માણસનો ખાવાપીવાનો અને બીજી જરૂરિયાતનો કેટલો ખરચ થાય? કોઈ કહે ૧૦૦ રૂપિયા થાય તો કોઈ કહે ૨૦૦ થાય. કારણ બહાર ખાવા જઈએ તો એક ટાઈમના ૧૦૦ રૂપિયા તો ઓછામાં ઓછા થાય છે. મેં કહ્યું થોડું વાજબી રાખો ૫૦ રૂપિયા રાખો. અમારા માણસામાં ગાયત્રી મંદિર વાળા રોજના એક ટાઈમના ૫૦ રૂપિયા ખાવાના લે છે. તો પણ બે ટાઈમના ૧૦૦ રૂપિયા તો થાય જ. બીજા કપડાલત્તાનાં ખર્ચા જવાદો. રોજના ૧૦૦ એક માણસ પાછળ ગણો તો ૫૦ લાખ માણસો પાછળ કેટલા થાય? ૫૦૦૦ લાખ થયા કે નહિ? શિક્ષકો બધા અચંબામાં હતા કે આ મહાનુભવ શું કહેવા માંગે છે? પછી મેં ધડાકો કર્યો કે ભારતમાં ૫૦ લાખ સાધુઓ છે જે કશું પણ કરતા નથી અને એમનો રોજના ૧૦૦ રૂપિયા લેખે રોજના ૫૦૦૦ લાખ રૂપિયા ખર્ચો થાય છે તે ભારતની બાકીની જનતાને માથે છે. તમે બધા તે ખર્ચો ભોગવો છો મારે એમાં ભાગ આપવો ના પડે માટે હું અમેરિકા ભાગી ગયો. બધા તરત હસી પડ્યા પણ એમના દિમાગમાં વાત ઉતરી ગઈ કે બિનઉત્પાદક સાધુઓ પાછળ આપણે નાહકનો ખર્ચો વેઠીએ છીએ. કારણ આ સાધુઓ કશું કમાતા નથી. મેં કહ્યું એમને મોક્ષ મેળવવો હોય તો મેળવે આપણને કશો વાંધો નથી પણ એમના મોક્ષના બિલ આપણે શું કામ ચૂકવીએ? બધા શિક્ષકો તાળીઓ પાડી ઉઠ્યા. શિક્ષણ અધિકારી તો વારંવાર કહેતા કે બાપુ બહુ મજા આવી ગઈ તમે સરસ કહ્યું. સરસ હોટેલમાં જમાડ્યા પછી કે.ડી. અમને શંખેશ્વરના પ્રખ્યાત જૈન મંદિર જોવા લઇ ગયા પછી એમના ઘેર પણ લઇ ગયા, ત્યાં ચા પી પછી અમે માણસા જવા રવાના થયા.

અમદાવાદ મારા ભાઈના દીકરી રહે છે. એટલે એક આંટો ત્યાં પણ માર્યો. તે દરમ્યાન ધૈવત ત્રિવેદીને એમની ઓફિસમાં જ મળી આવ્યા. લિટરેચર ફેસ્ટીવલમાં મળ્યા ત્યારે એમનો ખાસ આગ્રહ હતો કે મારે એમની ઓફિસમાં એમની સાથે એક બે કલાક ગાળવા. ધૈવતભાઈની ઓળખાણ આપવાની નો હોય. છતાં એક વાત કહું કે આ મેક્નીકલ એન્જીનીયર ફક્ત લખવાના પેશનને લીધે છ આંકડાનો પગાર છોડી સામાન્ય પગારે ગુજરાત સમાચારમાં જોડાય છે તે જાણી મને તો થયેલું જ તમને બધાને પણ આશ્ચર્ય થશે. એમણે કબૂલ કર્યું કે એમને પણ શરૂમાં મારા લેખો કે લખાણો નેગેટીવ લાગતા હતા. પણ પછી લાગ્યું કે મારો ઈરાદો સંસ્કૃતિ  સમજીને પાળી રાખેલી બીમારીઓ ઈંગિત કરવાનો જ હોય છે. એમની સાથે ચર્ચામાં લલિત ખંભાયતા પણ જોડાયેલા. વાંચવા ગમે એવા બહુ ઓછા પત્રકાર લેખકોમાં ધૈવતભાઈ આવી જાય છે. ધૈવતભાઈ સાથે અવિસ્મરણીય મૂલાકાત લઇ અમે કાપડિયા સાહેબને ઘેર જવાનું હોવાથી સત્યાગ્રહ છાવણીમાં એમના નિવાસ્થાને ગયા. નામ કેવું છે? ખરેખર અમદાવાદના સૌથી વધુ વૈભવી બંગલા અહી સત્યાગ્રહ છાવણીમાં છે. ખાદીધારી સત્યાગ્રહીઓને બહુ સસ્તામાં સરકારે મકાનના પ્લોટ ફાળવેલા. હવે થોડા પૈસા ચોરસવારે વધ્યા હશે તો સત્યાગ્રહીઓ અધધ કહીને પ્લોટ વેચી ભાગી ગયા.  સત્યાગ્રહ છાવણીમાં અડધા મકાનો બંધ હશે કારણ તેના માલિકો વિદેશોમાં વસતા હશે. કાપડિયા સાહેબ ખુદ પાંચ મહિના અમદાવાદમાં અને બાકીના મહિના ન્યુ જર્સીમાં રહે છે. જો કે એમનું અમદાવાદનું વૈભવશાળી ભવ્ય મકાન સાચવનારા કર્મચારીઓ બારેમાસ જોબ કરે છે. કાપડિયા સાહેબ જેટલો નમ્ર માનવી મેં કદી જોયો નથી. તે મારા લખાણોનાં બહુ મોટા આશિક છે. મારું લખેલું એક વાક્ય હોય તો પણ એમના ૫૦૦ મિત્રોને ઈમેલ દ્વારા મોકલી દેતા હોય છે.

અમદાવાદનાં રોકાણ દરમ્યાન જાયન્ટ દેહયષ્ટિ ધરાવતો મિત્ર કૃણાલ મળવા આવ્યો. ખુબ વાતો કરી. કૃણાલ બહુ સારો હાસ્યલેખક બની શકે તેમ છે. મેં એનો એક લેખ એને પ્રોત્સાહિત કરવા મારા બ્લોગમાં પણ મૂકેલો. મેં તો એને બહુ વાર કહ્યું હશે લખવા માંડો. ખેર હવે તે માતૃભારતીમાં લખતો થઈ ગયો છે તેનો મને ખુબ આનંદ છે. કાજલ શાહ, કાજલને હું ટોમબોય કહું છું. તે પણ મળવા આવી. કાઠીની કટાર જેવી અણીયાળી કાજલ શાહ મને ફેસબુક મહાકુભમાંથી મળેલી ખોવાયેલી દીકરી જેવી લાગી. તો વળી એજ દિવસે એવી જ બીજી દીકરી ઝીલીમિલ ઝીલ્લી પણ મળવા આવી. મળવા શું એના લગ્નમાં હાજરી આપવા આમંત્રણ આપવા જ આવેલી. ઝીલ્લી એટલે મારી માથાભારે દીકરી. સેન્ટ ઝેવીયરમાં ભણેલી ઝીલ્લીને કોઈ પહોચે નહિ. મને કાજલ અને ઝીલ્લી જેવી જાબાંઝ દીકરીઓ હમેશા વહાલી લાગે. એમની સામે બુરી નજરથી દેખનારની આંખો ખેંચી નાખે એવી આ દીકરીઓ બંને સાથે જ ભેગી થઈ ગયેલી. બોલવામાં અને બુદ્ધિમાં બંને શાર્પ. ફેસબુકે મને ખુબજ સારા મિત્રો સાથે આવી હોશિયાર દીકરીઓ પણ આપી છે. ઝીલ્લીના લગ્નમાં મેં હાજરી આપી હતી અને કાયમ સુખી રહે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા. એક વાત તો નક્કી જ છે કે મને મળવાનું પેશન ધરાવતા મિત્રો તો ગમે તેવી પરિસ્થિતિ હોય મળી જ ગયા છે. ઝીલ્લીનું પોતાનું લગન હતું, પોતે બહુ બીઝી હતી પણ ગમે તેમ કરીને મળી જ ગઈ. હું તો આશરે ૧૩૫૦૦ કિ.મી. દૂરથી આવ્યો જ હતો. મારે પણ બહુ બધાને મળવું હતું પણ મારી પાસે ફક્ત બે મહિના હતા, એમાંય મારે મારા ૯૪ વર્ષના માતુશ્રીને મળવા બેંગલોર જવાનું હતું અને દસેક દિવસ ત્યાં ગાળવાના હતા. એટલે મારી મજબૂરી હતી કે દરેક મિત્રોને મળવા એમના બારણે જઈ ના શકું. તો કોઈ કોઈ મિત્રોએ તો મારા પર દયા કરી મારે બારણે આવવું જોઈએ કે નહિ? ૧૩૫૦૦ કી.મી. સામે ૨૫,૫૦ કે ૧૦૦ કી.મી. આવી ના શકો? ખેર સાચા આશિક હતા તે તો ગમે તે કરીને મળી જ ગયા હતા. મને ઘણીવાર દુખ થાય કે અમુક મિત્રને કે સગાને મળી શકાયું નહિ, ટાઈમનો અભાવ નડ્યો. મેં નક્કી કર્યું હોય કે એમને મળવા જઈશ પણ જવાયું ના હોય તો હું અફસોસ કરતો હોઉં ત્યારે મારા ભાઈ સમજાવે કે “ભાઈ નાહક દુખી ના થશો એમની ફરજ નથી કે તમે આટલે દુરથી આવ્યા છો વ્યસ્ત હશો તો તમને ફોન કરી સામે મળવા આવે? તમે અમેરિકા જઈને આપણા દંભી લોકોને ઓળખવાનું ભૂલી ગયા છો.” ખેર એમની વાત પણ સાચી હતી.

૨૬મી જાન્યુઆરીએ માણસાની એક સ્કૂલમાં મને ધ્વજવંદન કરવા માટે ખાસ આમંત્રણ આવ્યું. મારા માટે મારા જીવનનો એ મહત્વનો દિવસ હતો. મારે મારા દેશ મારી માતૃભૂમિનો ધ્વજ ફરકાવવાનો હતો. એ તક આપવા બદલ તે શાળા અને તેના સંચાલકોનો ખૂબ ખૂબ આભાર. નાના બાળકોએ સરસ નૃત્ય કર્યું. મેં અને મારા ભાઈએ થોડું ભાષણ પણ આપ્યું. નાની બાળકીઓ જોડે ફોટા પડાવ્યા અને તેઓને અમેરિકાથી લાવેલ ચોકલેટો પણ આપી. બપોર પછી પ્રસ્થાન કર્યું વડોદરા જવા માટે. ભારત આવી મેં કોઈ મોજશોખ કર્યા નથી કે નથી મોંઘી ગાડીઓમાં ફર્યો. એજ બસમે હમારી શાનસે સવારી. હું લગભગ બધે બસમાં જ ફર્યો છું. વોલ્વો પણ મેં જોઈ નથી. ક્યાંક શટલિયા તરીકે ઓળખાતી જીપોમાં કે પાંચની જગ્યાએ દસ ભરેલી ખખડધજ કારોમાં ફર્યો છું. મારા ભાઈ જીપ વાળાને પૂછે અહી આ સીટમાં કેટલાને બેસાડીશ? પેલો કહે ચાર જણને. તો ભાઈ કહે એક કામ કર ત્રણ જણને જ બેસાડ એક જણનું ભાડું એક્સ્ટ્રા અમે આપી દઈશું. આમ અમે બેની જગ્યાએ ત્રણ જણનું ભાડું આપી મુસાફરી કરી છે જેથી બેસવામાં થોડી રાહત રહે. જે ડોબાઓ એમ કહે કે આ એનઆરઆઈ અહી મોજશોખ કરીને ગયોને પછી ભારતની બદબોઈ કરે છે, તો એવા દેશીઓ પણ તકલીફ વેઠવા તૈયાર ના હોય એવી તકલીફો વેઠીને માભોમમાં રહેવાનું મને હમેશા પ્રિય જ લાગ્યું છે. અમે તો બસમાં ક્યારે બેઠા હોઈશું યાદ નથી કહેનારા કેટલાય મિત્રો મને મળ્યા છે. ચાર શહેરોના ચાર બસ સ્ટેન્ડ અપટુડેટ બનાવી ગામડાઓના હજારો બસ સ્ટેન્ડ બિસમાર હાલતમા રાખવાને વિકાસ નો કહેવાય. ચાર ઉદ્યોગપતિઓને જીવાડી હજારો ખેડૂતોને આત્મહત્યા કરવાને મજબૂર કરવા વિકાસ નો કહેવાય. મેં તો જાતે ખેતી કરી છે. ખભે ૧૫ લીટરના પંપ ભરાવી કપાસ અને કોબીજમાં દવાઓ છાંટી છે. અને એ કોબીજ ૪ રૂપિયે મણનાં ભાવે નડિયાદના બજારમાં વેચીને આવેલો છું ત્યારે તે કોબીજ ભરવાના કોથળાની કિંમત પણ નહોતી નીકળી. મુંબઈ રહેતો મેન્ગેઝીન ચાલુ કરીશ કહી વાચકોના લાખોના લવાજમ ખાઈને ભાગી ગયેલો કોઈ ગદર્ભ લેખક જ્યારે કહે કે ખેડૂતો આળસુ છે, તો મને એની પૂંઠ પર અખાના મીઠું પાએલા ચામડાના ચાબખા મારવાનું મન થાય છે. ખેડૂતો આત્મહત્યા શોખથી કરતા હશે? ગધેડાઓ જીંદગીમાં ખેતર જોયું નાં હોય અને શું કામ ખેડૂતો વિષે લખતા હશે?

ખેર ૨૬મી જાન્યુઆરીએ સાંજે અમે વડોદરા પહોચી ગયા. વડોદરા મારી માણસા પછીની કર્મભૂમિ. હું અગિયારમાં ધોરણથી વડોદરા જતો રહેલો ભણવા. વડોદરા મારું પ્રિય અને પોતીકું શહેર. કોમર્સ ફેકલ્ટીમાં ભણીને પાછો માણસા આવી ગયેલો. માણસા ખેતીવાડી પશુપાલન કરી ફરી પાછો બરોડા ધંધાપાણી અર્થે આવી ગયેલો. મેં ખેતી કરી છે તો ગાયો પણ રાખી છે. મને ગાય દોહતા પણ આવડે છે. ક્રોસબ્રીડ ગાયોમાં મને સારી એવી સમજ હતી. હું એવી ગાય જોઇને કહી દેતો કે એનામાં કેટલા ટકા પરદેશી લોહી છે, અને કેટલું દૂધ આપતી હશે. મેં અડધી રાતે ખેતરોમાં પાણી પાયા છે. તો અડધી રાતે ગાયોની સુવાવડ પણ કરી છે. હું તો આકાશમાં તાકી રહેલો માટીનો માણસ છું. મારી નજર આકાશમાં પણ મારા પગ માટીમાં છે. ભલે હાલ હું અમેરિકામાં રહેતો હોઉં, પણ મારી નજર ભવ્ય મોલો અને મહેલાતોને બદલે વૃક્ષો અને જંગલો પ્રત્યે વધુ હોય છે. આદરણીય રઘુવીર ચૌધરી જેવા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ખેડૂત કમ સાહિત્યકાર ખેડૂતોને ઠપકો આપતો લેખ લખે તો આપણે હજાર વાર માથે ચડાવીએ. પણ મુંબઈમાં રહેતો ને વાચકોનો દ્રોહ કરીને વાચકોના પૈસા ખાઈ ભાગેલો કે જેણે જિંદગીમાં ખેતર જોયું નાં હોય અને ખેડૂતો વિષે લખે તો ગમે તેટલો હુશિયાર હોય એને કદાપિ માફ નો કરાય. વડોદરામાં હું અતિશય સંવેદનશીલ વાડી વિસ્તારમાં જ રહેતો હતો. એટલે કોમી રમખાણોના સ્વાદ મેં બહુ ચાખ્યા છે.

સુરતમાં સત્ય શોધક સભાએ મારું પ્રવચન રાખેલું. એની વાત હવે આગળના અંકમાં..

DSCN1929

5 thoughts on “યાદે વતન-૧”

  1. પ્રથમ અંક વાંચ્યો ગમ્યું . ઘણી ચિવટ પૂર્વકની નોધ ટપકાવી છે.

    Like

  2. વાહ બાપુ વાહ. સાચને આંચ નહીં. મારા સાથે માણસાના શ્રીભવાનસીંહભાઈ રાઠોડ સ્ટોરકીપર તરીકે કામ કરતાં હતા. તે પણ આપની જેમજ સાચી વાત કરતાં અચકાતાનહીં. આપની વાતો વાચતાં તેમની યાદ આવી જાય છે.

    Like

  3. Khub saras lekh .
    Bharat ma 50 lakh bava 5000 lakh janta ne mathe ane murakh janta pachhi pagma padine hoshthi aape parbhav sudharva ni lalach ma.
    Maza padi gai.

    Like

  4. Khub saras lekh.vachvanu start kariye pachi purepuru vachvu j pade.darek vachk ne potana lekhak na jivan vise janvani pan ichha hoi che. Aape kheti nu kam karyu che,gayo dohi che,aa badhi babto jani ne aanand thayo. …

    Like

  5. YADE VATAN-1. BHUPENDRASINHJI, VERY GOOD HASY SATHE KHUB JANVA MALU, 500K BAVA NO HISAB JANI AD KATRI RITE EDUCATED TEACHER NI EYE OPEN KARI . NOW THEY SHOULD BE OPEN PUBLIC EYES. BAVA NE KAME LAGADI DO TO NEHRO/ROAD BANI JAY.

    Like

Leave a comment