શું ભારતીય લોકો વધુ સામાજિક છે?

શું ભારતીય લોકો વધુ સામાજિક છે?

Indians in Elder Park
Indians in Elder Park (Photo credit: mikecogh)

શું ભારતીય લોકો વધુ સામાજિક છે?

          જ્યારે જ્યારે ભારતમાં રહેતા મિત્રો સાથે વાતો થાય કે સંવાદ થાય કે પછી ફોન પર વાતો થાય કે ઑન લાઇન વાતો થાય ત્યારે એવું ચર્ચાતું હોય છે કે ભારતમાં સોશિઅલ લાઇફ જેવું વધુ હોય છે જ્યારે અમેરિકામાં સોશિઅલ લાઇફ જેવું ઓછું હોય છે. અથવા તો સોશિઅલ લાઇફ જેવું કઈ હોતું નથી. અમેરિકામાં રહેતા ભારતીયો પણ આવું જ માનતા હોય છે. ઍવરિજ ભારતીયના મુખે એવું સંભાળવા મળવાનું કે અમેરિકામાં કલ્ચર જેવું કઈ છે નહિ. કલ્ચર તો આપણું ભારતનું જ. અમેરિકન સમાજ એટલે પશ્ચિમનો સમાજ સમજવો.

               હમણાં એક મિત્ર સાથે ઑન લાઇન વિડિઓ ચૅટિંગ દ્વારા વાતો થયેલી. તેઓ પોતે ડૉક્ટર છે અને એમની દીકરી અમેરિકામાં છે, દીકરો પણ વિદેશ ભણે છે. એમનું અમેરિકામાં કાયમ આવનજાવન હોય છે. તેઓને બંને જગ્યાએ રહેવાનો અનુભવ છે, એમના મુખે સાંભળ્યું કે અમેરિકામાં જીવન મેકૅનિકલ લાગે, જ્યારે ભારતમાં સામાજિક વધુ લાગે. મહદંશે એમનું કહેવું સાચું છે.

અમેરિકામાં કલ્ચર જેવું કઈ છે નહિ તેવું કહેવું વધારે પડતું છે. અહીં પણ કલ્ચર છે, પણ થોડું અલગ છે. આપણાં કલ્ચર સાથે મૅચ થાય તેવું નથી માટે એવું લાગે કે કલ્ચર જેવું કઈ છે નહિ. બાકી એમની રીતે આ લોકો એમના કલ્ચરમાં જીવે જ છે અને ખૂબ મજાથી જીવે છે. કદાચ આ લોકોને આપણાં કલ્ચરમાં કોઈ દમ લાગતો નહિ હોય. આપણાં કલ્ચરના રીતરિવાજો જોઈ જાણી આ લોકોને પણ ઘણું હસવા જેવું અને નવાઈ જેવું લાગતું હોય છે. દરેક કલ્ચરમાં ખામીઓ સાથે ખૂબીઓ પણ હોય જ છે. દરેક કલ્ચરમાં સારું ખોટું હોય જ છે. એવું પણ હોય કે આપણને ખોટું લાગતું હોય તે બીજા કલ્ચર માટે સારું ગણાતું હોય.

પશ્ચિમનું કલ્ચર પ્રાઇવસિમાં માનતું વધારે છે. સામાજિક ગઠબંધન ઓછું હોય તેવું લાગતું હોય છે. એના ઘણા બધા કારણો હોઈ શકે. લગભગ અહીં વસતા કે ભારતમાં વસતા મોટાભાગના ભારતીયોના મુખે સાંભળ્યા પછી કે ભારતમાં લોકો સામાજિક વધુ હોય છે અને અહીં ઓછા ત્યારે વિચાર કરવા મજબૂર થઈ જવાયું.

આમ મોટાભાગે આપણે ભારતના લોકો માનતા હોઈએ છીએ કે આપણે દુનિયાના લોકો કરતા વધુ સામાજિક છીએ. એટલે ઘણીવાર પ્રશ્ન થાય કે સાચે જ ભારતના લોકો વધુ સામાજિક છે ? જો જવાબ ‘હા’ હોય તો, શા માટે આપણે વધુ સામાજિક છીએ ? સામાજિક હોવા પાછળનું મુખ્ય કારણ જે તે પ્રદેશનું ભૌગોલિક કારણ જવાબદાર હોય છે. હવામાન પ્રમાણે રહેણીકરણી કે જીવન પદ્ધતિ બનતી હોય છે. એટલે કે જેવી કાર્યપદ્ધતિ હોય તે પ્રમાણમાં સામાજિક માળખું તૈયાર થાય.

ભારતની ભૌગોલિક પરિસ્થિતિને આધારે જોઈએ તો ભારત કૃષિપ્રધાન દેશ છે. સૌથી પહેલા સમાજની રચના નાના નાના સમૂહો દ્વારા થઈ અને સમૂહના લોકો સાથે મળી ખેતી કરતા. પછીથી તે ખેતી દરેક કુટુંબ પ્રમાણે થવા લાગી. ખેતીની સાથે પશુ પાલન પણ જરૂરી બન્યું. ખેતી તથા પશુપાલન માટે કુટુંબના દરેક સભ્ય હળીમળીને કામ કરતા. તેથી કુટુંબ વ્યવસ્થા વધુ મજબૂત બની. ભારતમાં કુટુંબવ્યવસ્થા પણ વિશાળ છે. એટલે કે સંબંધોની વિશાળતા છે. જેમ કે કાકા, મામા, માસી, ફોઈ, માતાના અને પિતાના સગા તે સાથે નજીકના અને દૂરનાં અને આ બધા સાથે સામાજિક જોડાણ પણ રહે તેવી સામાજિક મેળાવડા અને ઉત્સવોની પરંપરા વધુ વિકસી છે.

ખેતીપ્રધાન સમાજ હોય ત્યાં સામાજિક ગઠબંધન વધુ હોય તે સ્વાભાવિક છે. ખેતીમાં એકબીજાનો સહકાર વધુ જોઈએ. ખેતીપ્રધાન સમાજમાં સંયુક્ત કુટુંબ હોય તો વધુ મદદ મળે. ખેતીકામ જ એવું હોય છે કે એકલાં માણસનું કામ નહિ. જેમ જેમ ભારતમાં ઉદ્યોગ ધંધાઓ વધવા લાગ્યા તેમ તેમ કુટુંબો વિભક્ત થવા લાગ્યા છે. એમાં કશું ખોટું પણ નથી. સંયુક્ત કુટુંબના ઘણા બધા ફાયદા હોય છે, પણ વ્યક્તિગત સ્વતંત્રતા ઓછી હોય, પ્રાઇવસિ ઓછી મળે. ઘણીવાર નોકરી ધંધા માટે મજબૂરી હોય છે બહાર નીકળવું પડતું હોય છે. આમ સંયુક્ત કુટુંબ ઓછા થતા જવાના.

અમેરિકન સમાજ પ્રાઇવસિમાં ખૂબ માનતો હોવાથી સંયુક્ત કુટુંબ ઓછા હોય છે. પણ હવે આ લોકોને સંયુક્ત કુટુંબ એટલે મલ્ટીજનરેસ્નલ એટલે કે દાદા દાદી સાથેના કુટુંબોની મહત્તા સમજાવા લાગી છે. હાલનાં એક સર્વે પ્રમાણે અમેરિકામાં ૪ મિલ્યન એટલે ૪૦ લાખ ફેમિલી એવા છે જેમાં દાદાદાદી, પુત્ર, પૌત્રાદી સાથે રહે છે.

ભારતમાં મુખ્ય ત્રણ ઋતુઓ અને તેની પેટા ઋતુઓ પણ ત્રણ એમ છ ઋતુઓનો લાભ મળે છે. આ કારણ પણ થોડે ઘણે અંશે જવાબદાર ગણી શકાય. આવી અલગ અલગ ઋતુઓના કારણે જ ખેતી મુખ્ય વ્યવસાય તરીકે છે. દરેક ઋતુમાં સમાજ કાર્યરત પણ રહે. અને વચ્ચે મળતા સમયમાં ઉત્સવપ્રિય પણ રહી શકે. ભારતની જૂની જીવનપદ્ધતિ જોતા લાગશે કે અમુક સમયગાળો જ ઉત્સવોનો રહેતો જ્યારે ખેતીના કાર્યો ઓછા હોય ત્યારે જ. એટલે આમ જોતા ખૂબ જ મહેનત કર્યાં પછી નવરાશના સમયમાં મેળા, ઉત્સવો, સામાજિક પ્રસંગોના આયોજન થતા. આમ સામાજિક ગઠબંધન મજબૂત થતું.

પશ્ચિમમાં શિયાળો ખૂબ લાંબો છે. મુખ્ય બે જ ઋતુઓ છે, ઉનાળો અને શિયાળો. અહીં વરસાદ ગમે ત્યારે આવી જાય. સ્પેશલ ચોમાસું ફક્ત ભારતીય ઉપમહાખંડમાં જ છે. ઔદ્યોગિક ક્રાંતિ પશ્ચિમમાં પહેલી થઈ. નોકરીઓનું મહત્વ વધવા લાગ્યું તો સંયુક્ત કુટુંબની જરૂર ખાસ રહી નહિ. એકબીજાના સહકારની ખાસ જરૂર રહી નહિ. જેમ જેમ પ્રજા સ્વાવલંબી થતી જાય તેમ તેમ સ્વાર્થી પણ બનતી જવાની. જેમ પ્રજા પરાવલંબી તેમ સામાજિક વધુ રહેવાની. પરસ્પર સહકારની વધુ જરૂર હોય ત્યાં સામાજિક સંબંધો સારા રાખવા જ પડે છૂટકો નથી હોતો. જેમ પ્રજા પરસ્પર અવલંબી તેમ સામાજિક વધુ રહેવાની.

ઉત્ક્રાંતિવાદ પ્રમાણે જોઈએ તો મૅમલ સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલા છે તે મુજબ માનવ સામાજિક પ્રાણી છે. એટલે ગમે તેવી પરિસ્થિતિ હોય માનવ વધતે ઓછે અંશે સામાજિક તો રહેવાનો જ છે, ભલે પછી ભારતનો હોય કે પશ્ચિમનો. જો ખેતી કરતો હશે તો તેવા સમાજમાં રહેવાનો, જો નોકરી કરતો હશે તો એવું સર્કલ ઊભું કરશે. ઉદ્યોગપતિ હશે તો એના જેવા બીજા લોકો સાથે હરીફાઈ સાથે સામાજિક સંબંધો તો રાખશે જ. જ્યાં માણસ હશે ત્યાં હરીફાઈ અને સહકાર બંને સાથે રહેવાના.

એક બીજું કારણ એવું પણ છે કે જ્યાં સર્વાવલ માટે પરિસ્થિતિ નાજુક હોય ત્યાં સામાજિક ગઠબંધન વધુ રહેવાનું. એટલે જ્યારે લોકો પાસે પૈસો વધતો જાય છે ત્યારે લોકો વધુ સ્વાર્થી બનતા જતા હોય છે. કે હવે બીજા લોકોનો સહકાર ઓછો હશે તો ચાલશે, પૈસો છે બધું ખરીદી શકાય છે. પહેલા ગામડાઓમાં લગ્ન હોય એટલે બધી વ્યવસ્થા જાતે કરવી પડતી. બધી જરૂરી વસ્તુઓ આજુબાજુથી કે ગામમાંથી ઉઘરાવવી પડતી. મહિનાઓથી તૈયારી કરવી પડતી. એમ સામાજિક સંબંધો જળવાઈ રહેતા. આજે બધી સગવડ વેચાતી મળે છે. ખાલી ખીસા ભરેલા જોઈએ. એમ બીજા કોઈ પર બહુ આધાર રાખવો પડે નહિ.

હવે તમે શહેરમાં રહેતા હો તો ફક્ત બે દિવસમાં લગ્નપ્રસંગ ઊભો કરી શકો છો. મને યાદ છે અને મેં જોએલું છે લગ્ન પ્રસંગ હોય તો મહીના પહેલા દરજી ઘેર બેસાડતા. દરજીભાઈ એમનું મશીન લઈને જ આવી જતા. આખો દિવસ સીવ્યા કરતા. આજની પેઢીના યુવાનો માની પણ નહિ શકે આ વાત. હવે આજે દરજીની જ જરૂર રહી નથી. બધા કપડા રેડીમેડ મળી જાય છે.

આમ જેમ સુખ સગવડ વધતી જવાની, બધું પૈસાથી ખરીદી શકાય તેવું બનવા લાગે તેમ એકબીજાના સહકારની જરૂર બહુ રહે નહિ તેમ લોકો સ્વલક્ષી બનતા જવાના. લોકો એકલપટા થતા જવાના. ગામડાં કરતા શહેરના લોકો વધુ સ્વલક્ષી નથી લાગતા ? અમેરિકન લોકો સ્વકેન્દ્રી વધુ લાગે છે તેનું કારણ આ જ છે. અહીં કોઈના ઉપર આધાર રાખવો પડતો નથી. અહીંની વ્યવસ્થા જ એવી છે કે કોઈના ઉપર બહુ આધાર રાખવો પડે નહિ. તો પછી સામાજિક સહકારની જ્યાં બહુ જરૂર ના હોય તો આ સમાજ સામાજિક ઓછો લાગે તેમાં નવાઈ શું?

જ્યારે લોકો પાસે સંપદા ઓછી હોય, રિસોઅર્સ ઓછા હોય ત્યારે સર્વાઇવલ માટે પરિસ્થિતિ નાજુક હોય છે. આમ જ્યારે રિસોઅર્સ ઓછા હોય અથવા બીજા કોઈ કારણસર પોતાનું રક્ષણ કરવા પ્રજા અસમર્થ હોય ત્યારે લોકો એમના સામાજિક જોડાણ પ્રત્યે વધુ આધાર રાખતા થઈ જતા હોય છે. ભલે લોહીનો નાતો ના હોય પણ વિશ્વાસ, કરુણા, સહભાવ, સદભાવ, સહાનુભૂતિ દ્વારા વિશિષ્ટ સંબંધો બનાવી એક સામૂહિક સર્વાઇવલની પદ્ધતિ અખત્યાર કરતા હોય છે. આમ જે લોકો પાસે લિમિટેડ રિસોઅર્સિસ હોય છે તે લોકો જુદી સ્ટ્રેટેજી પસંદ કરતા હોય છે, આ લોકો તેમના લિમિટેડ રિસોઅર્સિસ બીજા લોકોને વહેંચતા માલૂમ પડ્યા છે.

આમ ઓછી સંપદા સ્વાર્થ અને લોભને ઓછી કરે છે.જ્યારે પૈસો અને સંપદા ખૂબ વધી જાય ત્યારે તેવા લોકોની નજર બીજા પ્રત્યેથી હટી જાય છે. હવે બીજાની જરૂર ખાસ રહી નથી. આમ એમની બીજા પ્રત્યેથી લાગણી પણ ઓછી થઈ જતી હોય છે. હવે એની પાસે ખૂબ સંપત્તિ છે હવે બીજાનું શું કામ ? આમ આ લોકો સંપત્તિ ઉપર વધુ આધાર રાખતા હોય છે સિવાય લોકો પર.

અમેરિકામાં જુઓ તો દરેક પાસે લગભગ કાર હોય છે. હાલ અહીં મંદી ચાલી રહી છે. ટીવીમાં જાતજાતના સર્વે આવતા હોય છે. ટીવીમાં એવું પણ સાંભળ્યું કે અહીં ગરીબીરેખા નીચે જીવતા લોકો પાસે પણ ફ્રિઝ, ટીવી, કાર જેવા સાધનો હોય છે. લગભગ બધું કામ ઑન લાઇન પતી જતું હોય છે. કોઈ તકલીફ હોય તો ટેલિફોન હાથમાં લો ૯૧૧ દબાવો પાંચ દસ મીનીટમાં પોલીસ હાજર. જરૂર લાગે તો સાથે ઍમ્બ્યુલન્સ પણ આવી જાય. બાજુની દીવાલે રહેતા પાડોશીની પણ જરૂર રહે નહિ, તો પાડોશીને પણ કોણ ઓળખે ? આમ વધુ પડતી સુખ સગવડ માણસને એકલપટો બનાવી દે તેમાં નવાઈ નહિ. આવા એકલવાયા સમાજના ગેરલાભ પણ હોય છે. લોકો મશીન જેવા થઈ જતા હોય છે. પરિસ્થિતિ વિષમ હોય ત્યાં લોકો સામાજિક વધુ હોય.

એટલે પેલાં સંબંધી કહેતા હતા તે સાચું છે કે અહીં જીવન યાંત્રિક વધુ લાગે. યાંત્રિક જીવન હોય ત્યાં તણાવ વધુ હોય. ભારતમાં આ બાબતે તણાવ ઓછો લાગે. ભારતના સમાજિક હોવાના ફાયદા વિષે એક વાત લખું. અમેરિકા રહેતા એક મિત્ર સાથે મેડિસિન બાબતે વાર્તાલાપ થયેલ. એ મિત્ર વર્ષો સુધી ભારતમાં રહેલા. આરામદાયક જિંદગી હતી. પેઢી પર બેસી નોકરો સાથે કામ લેતા. અમેરિકામાં હંમેશાં લોકો પોતાની પાસે પેએન કિલર રાખતા હોય છે નાની મોટી બીમારીમાં પેએન કિલર લઈ લે. તે મિત્ર કહે કે ભારતમાં હતા ત્યારે પોતાના વ્યવસાયમાં ૧૪-૧૫ કલાક કામ કરતા માણસો સાથે કામ લેવાનું હોય તેમાં અને માણસ ના આવે તો જાતે કામ કરવાનું છતાં ક્યારેય સ્ટ્રેસ કે થાક ના લાગતો. કારણ દિવસ દરમ્યાન આસપાસમાં લોકોને મળતા રહેવાનું. એકબીજાની સાથે વાતો કરવાથી મન હળવાશ અનુભવતું. ઘરે  જઈને કુટુંબ સાથે બેસીને વાતો કરતા રાત્રે મિત્રોને મળીએ. આ બધામાં સ્ટ્રેસ રહે નહીં. જ્યારે અમેરિકામાં ૯ થી ૫.૩૦ ની જોબ માં ૪.૩૦ થી ઘડિયાળ જોવાનું ચાલુ થઈ જાય. જો શિફ્ટ જોબ હોય તો પછીની શિફ્ટનો કર્મચારી ના આવે ત્યાં સુધીમાં તો સ્ટ્રેસ શરુ થઈ જાય.

દસ પંદર હજાર વર્ષ પહેલા આખી દુનિયાના તમામ સમાજો હન્ટર-ગેધરર હતા. આવા સમાજો હાલ પણ છે. અહીં પુરુષો શિકાર કરવા જાય અને સ્ત્રીઓ ખોરાક જેવાકે ફળફળાદિ, કંદમૂળ, ખાવાલાયક અને ઔષધ માટે વપરાય તેવા લીલા શાકભાજી એકઠા કરે. આવા સમાજોમાં સ્ત્રી પુરુષનું સ્થાન સરખું હતું અને છે. સ્ત્રી પુરુષ કરતા અહીં કમજોર ગણવામાં નહોતી આવતી. સંશોધકોનું માનવું છે કે ખેતી શરુ થઈ અને શારીરિક બળની જરૂર વધુ પડવા લાગી. આમ પુરુષનું મહત્વ વધવા લાગ્યું. ધીમે ધીમે સ્ત્રી પુરુષ આધારિત વધુ બનવા લાગી. જ્યાં જીવન બીજા પર આધારિત હોય ત્યાં સહકાર સ્વયંભુ સ્થપાઈ જતો હોય છે. પશ્ચિમની સ્ત્રીઓ કમાતીધમાતી થઈ ગઈ છે તો સ્ત્રીઓ પુરુષો પર આધારિત નથી. જરા વાંકું પડ્યું કે છુટા.

આપણે ત્યાં હવે ડિવોર્સનાં પ્રમાણ વધવા માંડ્યા છે તેનું મુખ્ય કારણ સ્ત્રીઓ કમાતી થઈ ગઈ છે તે પણ હોઈ શકે. પશ્ચિમની નકલ કે આંધળું અનુકરણ કરતા હોઈએ એવું સાવ નથી. આપણે ખોટી બુમો પાડતા હોઈએ એવું લાગે છે. મૂળ કારણ છે ભારતમાં સ્ત્રી હવે સ્વતંત્ર બનવા લાગી છે કે કમાણી કરવા લાગી છે. હવે તેને પુરુષ પર સંપૂર્ણ આધાર રાખવો પડતો નથી. હવે એને એનું સ્વમાન યાદ આવવાનું જ છે.

આપણા ગ્રામ્યજીવન અને શહેરીજીવન વિષે ધ્યાનથી જોશો તો પણ ભેદ સમજી જવાશે. જે લોકો ભારતમાં એકબીજા પ્રત્યે ખૂબ સામાજિક લાગતા હોય તે લોકો પણ અહીં આવીને એકબીજા પ્રત્યે જરૂર પૂરતો સંબંધ રાખતા થઈ જતા હોય છે એમાં કોઈનો દોષ કાઢવો નકામો છે. આમ ભારતમાં પ્રેમભાવ, સદભાવ, સહકાર વધુ છે. લોકો સામાજિક વધુ છે. જ્યારે પશ્ચિમનો સમાજ ઓછો સામાજિક લાગે છે તે પણ સ્વાભાવિક છે. અમેરિકામાં કલ્ચર જેવું કશું નથી તેવું કહેવું પણ વધુ પડતું છે.

By:- M.B.Bhojak & B.R.Raol- April 2, 2012.

35 thoughts on “શું ભારતીય લોકો વધુ સામાજિક છે?”

  1. Dear Bhupendrabhai vah vah…paan Bharatiya Sanskruti Reet rivaz Socialisom…veg ane USA nu..Fer tau Rahevano j jem aape kahyu paan here the SYSTEM is SUCH…NO BODY is DEPEDENT on NO BODY..I used to see many OLD people..Ladies ya Gents in MALL…sit in a Trolley type Cart and used to pick from diff places..come at Counter….and then go upto their CAR..put all and then leave that CART there ..special place…..
    Road crossing etc SUPERB……
    Where I used to stay..just opp my home one OLD Couple used to live..Every weekend son-wife ya Dgtr-in-law may be wd Children used to come..stay whole day and go……
    Here special Fecilities for OLD people…home…office..banks…..ATM…..
    GBU JSK
    Sanatbhai Dave..

    Like

    1. Yes. and Old age pension! This contributes to the independence of aged people. In India, absence of such financial support works as cohesive force for joint family. A bitter but welcome truth.

      Like

    2. દવે સાહેબ,
      ભારતમાં લોકોને ખબર હોતી નથી કે આ લોકો પણ પ્રેમાળ હોય છે. એમના સંતાનોનું ધ્યાન રાખતા જ હોય છે. ખાસ તો ગપોડી લેખકો અને પૂર્વગ્રહથી ભરેલા પત્રકારો મનગડન્ત વાર્તાઓ બનાવી નાખતા હોય છે. અમેરિકનો પણ એમના વિષે ના જાણતા હોય તેટલું આપણે ભારતીયો જાણતા હોઈએ છીએ. હહાહાહાહા

      Like

      1. અમેરિકનો પણ એમના વિષે ના જાણતા હોય તેટલું આપણે ભારતીયો જાણતા હોઈએ છીએ. હહાહાહાહા

        Like

      2. “ખાસ તો ગપોડી લેખકો અને પૂર્વગ્રહથી ભરેલા પત્રકારો મનગડન્ત વાર્તાઓ બનાવી નાખતા હોય છે. અમેરિકનો પણ એમના વિષે ના જાણતા હોય તેટલું આપણે ભારતીયો જાણતા હોઈએ છીએ. હહાહાહાહા” – Like.

        Like

        1. પંચમભાઈ લોકો એન.આર.આઈ. વિષે અનાપસનાપ લખીને એક વિકૃત આનંદ માણતા હોય એવું લાગે છે. આભાર.

          Like

      3. Very Good Reply, Yes People Are People In Both Community, Both Have Differant Economy And People Have Adepted Accordingly…..
        I Try To take Good From Both Culuture,
        Life Is About Acceptance, Attitude, Grattitude And Detachment…..

        Like

    3. દવે સાહેબ અહીં રહ્યા વગર, અહીનું જાણ્યા વગર લોકો ઠોકમઠોક કરતા હોય છે. આપનું નિરીક્ષણ સાચું છે. આભાર.

      Like

  2. મીત્ર,……. ” આપણે ત્યાં હવે ડીવોર્સનાં પ્રમાણ વધવા માંડ્યા છે તેનું મુખ્ય કારણ સ્ત્રીઓ કમાતી થઈ ગઈ છે. પશ્ચીમની નકલ કે આંધળું અનુકરણ કરતા હોઈએ એવું સાવ નથી. આપણે ખોટી બુમો પાડતા હોઈએ એવું લાગે છે…..

    ઉપરનું જે લખાણ છે એ વધુ સત્ય લાગે છે…

    Like

  3. Very good thoughts.

    Think,
    In USA,On a minimum wage,How many hours/week you have to work to earn your monthly bills.Most people are attracted to dollar which pays 50+ Rupees.How many people you know have a family health insurance?

    http://www.creditloan.com/infographics/how-the-average-consumer-spends-their-paycheck/

    http://pages.minot.k12.nd.us/votech/File/mylife/lesson3.htm

    (3)ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
    ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.

    ભારત કી સરલ આસાન લિપિ મેં હિન્દી લિખને કી કોશિશ કરો……………….ક્ષૈતિજ લાઇનોં કો અલવિદા !…..યદિ આપ અંગ્રેજી મેં હિન્દી લિખ સકતે હો તો ક્યોં નહીં ગુજરાતી મેં? ગુજરાતી લિપિ વો લિપિ હૈં જિસમેં હિંદી આસાની સે ક્ષૈતિજ લાઇનોં કે બિના લિખી જાતી હૈં! વો હિંદી કા સરલ રૂપ હૈં ઔર લિખ ને મૈં આસન હૈં !http://saralhindi.wordpress.com/

    Like

  4. ભારતીયો અમેરિકા માં કાયદાનું પાલન કરે છે અને અહી આવી ને?
    અમેરિકા ની સંસ્કૃતિ ગણી બાબતો માં ભારત થી સારી છે તે ના ભૂલવું જોઈએ
    મેંનર્સ , સ્વચ્છતા, દેશદાઝ, ધાર્મિક કટ્ટરતા નો અભાવ, સુરક્ષા, આનદપ્રમોદ,
    કામચોરી નો બિલકુલ અભાવ વગેરે થી ચડિયાતો દેશ છે. આટલો સારો દેશ છે એટલે તો ત્યાં વધારે ભારતીયો જાય છે
    અને પછી અમેરિકાની સંસ્કૃતિ ને વખોડે છે તેજ ભારત ના લોકો નો સ્વભાવ છે.
    ભારત ની લોકશાહી આજે સરમુખત્યાર શાહી માં પરિવર્તિત થઇ રેહી છે નાના નાના પક્ષોના રાજા ઓ
    ગમે તેવા કાયદાને ગાંઠતા નથી . અમેરિકા માં કાયદા બધા માટે સરખા છે જયારે ભારત માં બધાજ નેતાઓ મુસ્લિમ તુસ્તીકરણ ની સ્પર્ધા માં લાગી ગયા છે તેનાથી આતંકવાદ વકર્યો છે.
    અને જાતિવાદ કોમવાદ વધતો જાય છે . આના માટે ભારત ની સંસ્કૃતિ જવાબદાર કે બીજો કોઈ દેશ ?
    આપને સામાજિક વધારે છીએ છતાં સામાજિક પરિસ્થિતિ અંદર થી ખોખલી છે. અંધશ્રદ્ધા હજુ જીવે છે
    સાધુ સંપ્રદાયો બધાને ચૂસે છે. ધર્મ નો દેખાવ વધારે અને ઉતારવાનો ઓછો, મંદિર માટે કરોડો રૂપિયા નું દાન
    અને સ્કુલ માટે નન્નો . ઉમેદવારોની જ્ઞાતિ જોવાની હોશિયારી કામે ના લાગે. ધરમ ના નામે આશ્રમો અને મોટા મંદિરો
    જ્યાં વગર ઉત્પાદને નફો જ નફો . ભરતી સામાજિક વિષમતા એ તો લોકો ને માયકાંગલા બનાવી દીધા છે.
    પોતાની સેવા કરવા માટે છોકરો જોઈએ જ આવી સ્વાર્થી ભાવના સમાયેલી છે.

    Like

    1. ભાઈ આપે કડવું સત્ય કહ્યું આપણી સામાજિક સ્થિતિ અંદરથી ખોખલી છે. ખૂબ ખૂબ આભાર.

      Like

  5. ભુપેન્દ્રભાઈ, અભાર. સરસ લેખ ! આ વિષય પર ઘણા લેખ લખાય છે અને ચર્ચાઓ થાય છે, પરંતુ તમે બહુ સરસ રીતે છણાવટ કરી છે. દરેક દેશના કલ્ચર અને રીતિરિવાજ અલગ હોય તો મતભેદ તો થવાના જ. તેઓ પોતાની રીતે બરાબર હશે. પરંતુ હિન્દુસ્તાનની સંસ્કૃતિ, રહેણીકરણી, શાદી અને બીજા કૌટુંબિક માળખાઓની ગોઠવણ અને પરસ્પર પારિવારિક ભાવનાઓ વગેરે તો આખા વિશ્વમાં સર્વોપરી જ છે.

    Like

  6. શ્રી રાઓલજીની આ વાત સાથે અસહમત થવાને કોઇ કારણ જ નથી. જે જે સમાજોમાં સંસ્ક્રુતિનો ઉદય ખેતીપ્રધાન રીતે થયો છે તે તે સમાજોમાં સામાજીક / કૌટુંબિક સંબંધોનું બંધન અતિ ગાઢ છે. અને આમ જોવા જાવતો દુનિયાનો લગભગ દરેક પ્રાચિન સમાજ ખેતીપ્રધાન તરીકે જ વિકાસ પામ્યો છે. તેમાં માત્ર ભારતનો જ નહિં, પરંતુ, યુફ્રેટિસ-તૈગ્રીસના કાંઠે વસેલો ઇરાન- ઇરાકનો સમાજ, નાઇલને કિનારે વસેલો ઇજિપ્તનો સમાજ, સિર દરિયા-આમુ દરિયાને કિનારે વસેલો (મધ્ય એશિયાઇ) સમાજ; એમેઝોનના પ્રદેશોમાં વસેલી માયા સંસ્ક્રુતિ, યાંગત્ઝેને કિનારે વસેલો ચીની સમાજ કે પછી જે દેશની વાત શ્રી રાઓલજીએ કરી છે તે અમેરિકાનાજ મૂળનિવાસીઓમાં કૌટુંબિક બંધનો આજે પણ પ્રમાણમાં વધારે ગાઢ છે જ.

    પરંતુ તેનું કારણ માત્ર ખેતી જ હોવું તે જરૂરી નથી. કોઇપણ એવો વ્યવસાય કે જેમાં વધુ હાથોની જરૂર હોય તે વ્યવસાયમાં કૌટુંબિક બંધનો ગાઢ હોવા સામાન્ય છે. જેમકે ભારતના કચ્છ અને રાજસ્થાનમાં રણમાં વસતા લોકો માત્ર પશુપાલન પર જ નભે છે. તે જ રીતે મોંગોલિયા ને પશ્ચિમ ચીનના રણ વિસ્તારના લોકો પણ પશુપાલન કરતાં હોય છે. આ લોકોમાં પણ કૌટુંબિક / સામાજીક બંધનો પ્રગાઢ હોય છે.

    પરંતુ અહિં હોંગ-કોંગમાં રહીને રાઓલજીની વાત સાથે અસહમત થવાનું મન થઇ જાય. હોંગકોંગના મૂળનિવાસીઓ પણ ચાઇનિઝ મૂળના જ છે. અને હોંગકોંગની આટલી બધી ભૌતિકતા વચ્ચે પણ તેમણે પોતાની આગવી ઓળખ જાળવી રાખી છે. સવારના ૯ થી સાંજના ૭-૮ વાગ્યા સુધી આ સમાજ અમેરિકન થઇ જાય છે; સાંજે સાત પછી અને શનિ-રવી આ લોકો ચાઇનિઝ લોકોના જેવા સામાજીક થઇ જાય છે અને તહેવારોમાં (જેની ભારતની માફક ચીનમાં પણ કમી નથી!!) આ સમાજ તમને ભારતિય લોકો જેવો જ લાગે. બધાજ દરજ્જાના લોકો ભેગા થઇને ઉત્સવો ઉજવે; હા આપણા ભારતિય લોકોને તેમની ભાષા અને રીત-રિવાજો સમજમાં ન આવે તેથી તેમાં આપણે ભાગ ના લઈ શકીએ. પરંતુ આ સમાજમાં હજુ પણ દેખાય છે કે કૌટુંબિક ભાવના જીવંત છે. અને મારા મત મુજબતો ભારતના શહેરી લોકો કરતાં અહિંના લોકો વધારે કૌટુંબિક છે. તેના કારણો જુદા હોઇ શકે છે.

    એક તો તેમના જૂના સંસ્કારો; ધર્મ (પ્રાચીન ચીની ધર્મો) પ્રત્યેની ઊંડી આસ્થા, અને આર્થિક રીતે સધ્ધર જીવન. મને હોંગકોંગમાં આવ્યે લગભગ દસ મહિના થયા. એટલી બધી જગ્યાઓએ જવાનો મોકો નથી મળ્યો, પરંતુ જે જ્ગ્યાઓએ ગયો છું ત્યાં નોંધ્યુ છે કે ક્યાંકને ક્યાંક ચાઇનિઝ મંદિર કે દેરી મળી આવે!! જેની નિયમિત પૂજા પણ થતી હોય અને દેવની જાળવણી પણ આંખે ઊડીને વળગે એવી હોય છે. કદાચ તેમની આ પોતાની પ્રાચીન સંસ્ક્રુતિને જીવતી રાખવાની ભાવનાએ જ તેમની કૌટુંબિક ભાવનાઓને પણ જીવંત રાખી છે. એવા ઘણાં વ્રુધ્ધ યુગલો જોયાં કે જેમને તેમનાં સંતાનો કાળજી પૂર્વક આવા દેવસ્થાનોએ લઇ આવતા હોય અને તે સિવાય પણ શહેરમાં ફરવા લાયક સ્થળોએ કાળજીથી ફેરવતાં હોય. ક્યારેક એમ થઇ આવે કે ભારતના (કે પછી ચીનના?) ગામડાઓની સુસંક્રુત ભાવના આટલા ભૌતિકતાથી ફાટફાટ થતાં શહેરમાં હજુ પણ જીવંત છે!! અહો વૈચિત્ર્યમ્ !!!

    Like

    1. ભાઈ ચીનાઓ વિષે આપે લખ્યું તે બાબતે ૧૦૦ ટકા સંમત. મેં પણ અહીં જોયું છે. ચાઈનીઝ પ્રજામાં ફેમીલી વેલ્યુજ ખૂબ હોય છે. એમાં એમના જુના સંસ્કારો કામ કરી જતા હશે. આ લોકો ભૌતિકતા, પ્રગતિ અને એમની સંસ્કૃતિ વચ્ચે બેલેન્સ જાળવી રાખતા હોય છે જે કદાચ આપણે રાખી શકતા નથી. ખૂબ ખૂબ આભાર. પ્રતિભાવ આપતા રહેશો.

      Like

      1. શ્રી ભુપેન્દ્રભાઈ,
        આભાર, તમારા બ્લોગથી પ્રેરિત થઈને મેં પણ લખવાનો શોખ પુરો કરવા માટે; આ મારા નાનકડા બ્લૉગનું નિર્માણ કર્યું છે. મુલાકાત લેવા વિનંતિ. જો કે તમારા બ્લૉગની મુલાકાતનો નશો જ કોઈ ઓર છે. આપનો અનન્ય ચાહક – વત્સલ ઠક્કર.

        Like

  7. ભુપેન્દ્રસિંહસાહેબ, જે વાત તમે કરી એ જ પ્રમાણે ત્યાની પણ સંસ્કૃતિ છે જ. પણ એ આપણી સંસ્કૃતિ કરતા અલગ છે એનું કારણ એ છે કે તે લોકો આપણીથી આગળ છે. આજે આપણે ત્યાં વધતા જતા ડિવોર્સનું પ્રમાણ તથા અમુક બાબતો એ સ્પષ્ટ કરે છે કે આપને ત્યાં દરેક બાબતની જેમ આ વાત પર પણ તેમની ઘણા પાછળ છીએ. ભલે સંપૂર્ણ ત્યાં જેવી ૧૦૦% નહિ પણ ઘણી ખરી અસરો ભવિષ્યમાં જોવા મળશેજ.

    ખુબજ સરસ રીતે તમે બન્ને વચ્ચે સમાનતા અને વિરોધીતા દર્શાવી છે. ગમે તેટલ બીઝી સેડયુલમાંથી પણ તમારા લેખ વાચવાની ખરેખર મજા આવે છે અને તત્પરતા હોય છે.

    આભાર.

    નિશિત.

    Like

  8. .મિત્રો, બાઈબલ વાંચ્યા અને અદશ્ય પરમાત્માને સમજ્યાં વગર વેસ્ટર્ન વર્લ્ડની ખબર નહિ પડે અને રામાયણ-મહાભારત વગર ભારત ખબર નહિ પડે………. કુરાન વાંચ્યા વગર મુસ્લિમ વર્લ્ડ ખબર નહિ પડે, નહિ તો બધુ અડસટ્ટે ગણાશે…….!!!!!

    પણ ભારત ૨૫૦૦૦ વાડાઓનો ખિચડો છે એટલે વધુ ગુંચવણ ભર્યુ જ રહે છે અને અંતિમ નિષ્કર્ષ પર પહોંચી નથી શકતા..!!

    Like

  9. ઉપરનો લેખ વાંચવાની ખૂબ મઝા અાવી. સરસ રીતે એમણે વાત સમજાવી છે, બિલકુલ તટસ્થ રહીને. સાચી વાત તો એ છેકે અાપણે ત્યાં કોઇપણ જાતના સંશોધન વગર અને જવાબદારી વગર જે તે વિષય પર પોતાનું જ્ઞાન રજૂ કરી દે છે અને સામાન્ય પ્રજા તે વાત સાચી માની લે છે. બાકી અમેરિકનો પાસે કલ્ચર નથી એ વધારે પડતો અારોપ છે.

    Like

    1. અરે! બહેન અમેરિકનો અને એન.આર.આઈ વિષે એટલી બધી ગલત વાતો લખાય છે કે ના પૂછો વાત. બધું મનગડન્ત લખાય છે. આપે પ્રતિભાવ આપ્યો ખૂબ ખૂબ આભાર.

      Like

  10. ખૂબ ઊંડો વિચાર માંગીલે તેવો વિષય છે આ ……. તમને આ લેખ લખવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.

    Like

  11. બાજુની દીવાલે રહેતા પાડોશીની પણ જરૂર રહે નહિ, તો પાડોશીને પણ કોણ ઓળખે?
    One reason is that the houses are not next but away from each other. It is easier to call 911 than to get the neighbor who may or may not be home.
    My township has a system such that if any resident needs help, he or she can call 911 in his or her own language. There is a translation service so that the 911 operator hears the translation and provides help immediately. Lives of people not knowing English have been saved due to this facility. Even though there is limited budget nowadays, the township did not hesitate in providing this service because, over here, each life is precious regardless of the language spoken by the person or his nationality, religion or even legal status.

    Like

  12. આપનું નિરિક્ષણ વ્યાજબી છે. મનુષ્ય (અને કેટલીક અન્ય પ્રજાતિઓ પણ) સામાજિક પ્રાણી જ છે. પછી વધારે-ઓછું જેવું કશું ન હોય. સામાજિકનો અર્થ જ છે; સમાજ સંબંધી, સમાજનું. જેવી જ્યાં સમાજની સ્થિતિ હોય તે પ્રમાણે ઢળીને રહેવા લાગવું પડે (અન્યથા તો ’અસામાજિક’ ગણાય ને !). ભારતમાં બજાર વચ્ચે પત્નીને પણ (!) ચુંબન કરો તો ’અસામાજિક’ ગણાય ! અમેરિકામાં ’સામાજિક’ ગણાય !! થોડામાં કહીએ તો, જ્યાં જેવો સમાજ ત્યાં તે રીતે રહેવા-વરતવાનું રહે, આમાં ઝાઝું-થોડું કે સારું-નરસું એ માત્ર આપણી દૃષ્ટિએ કહેવાય. બાકી સામાજિક મૂલ્યો તો સ્થળકાળ પ્રમાણે બદલતા રહેતા હોય છે. સ_રસ અને સમજવા જેવો લેખ. આપ બંન્નેનો આભાર.

    Like

    1. ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. બે જણા સમાન વિચારસરણી ધરાવતા ભેગા થઈને લખે તો થોડું વધુ સારું લખી શકાય છે.

      Like

  13. Dear brother,
    the article is wholesome, nothing can be added to it. Very nice and thought provoking too. However, for your readers i am giving follwing details which i think some would appreciate.
    Vasant- 13 march to 12 may
    Gishma- 13 may to 14 July
    Varsha – 15 july to 15 sep
    Sharad – 16 Sep to 14 Nov
    Hemant – 15 Nov to 12 Jan
    Shishir – 13 Jan to 12 March.

    Like

  14. nice and balanced article. I came to know about seasons of USA. ” પશ્ચિમમાં શિયાળો ખૂબ લાંબો છે. મુખ્ય બે જ ઋતુઓ છે, ઉનાળો અને શિયાળો. અહીં વરસાદ ગમે ત્યારે આવી જાય. સ્પેશીયલ ચોમાસું ફક્ત ભારતીય ઉપમહાખંડમાં જ છે. “

    Like

  15. પ્રિય ભુપેન્દ્ર ભાઈ રાઓલ
    તમારા લેખથી ઘણું બધું જાણવા મળ્યું એ વાત માનવા જેવી છે કે લેખકો સમજ્યા વગર ઘણું બધું લખી નાખતા હોય છે .
    આભાર

    Like

  16. ભુપેન્દ્રભાઈ: આપના વિચારો સાથે સંપૂર્ણ સહમતી છે. સંસ્કૃતિ (કલ્ચર) ભૌગોલિક કારણોથી ઉદ્ભવે છે, આબોહવા તેમાં ખુબ મોટો ભાગ ભજવે છે. ઠંડી આબોહવામાં એકબીજાને અભિનંદન માટે હાથ મેળવીને મળવામાં આવે જેથી પોતાની ઉષ્મા બતાવી શકાય. જયારે આપના દેશમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાથી દુરથી નમસ્તે કરવામાં આવે છે, ઠંડા પ્રદેશમાં આખા શરીરને ગરમ રાખવા માટે કપડા વધારે જોઈએ છે, જયારે આફ્રિકાના વીશુવવૃત્તીય પ્રદેશમાં લગભગ નગ્ન હાલતમાં લોકો જીવન ગુજારે છે, આરબો મોટો રોબ પહેરે છે જેથી ગરમી સીધી ન લાગે, અને એ જ પ્રમાણે જીવન પદ્ધતિ ઉદ્ભવે છે.
    દુ;ખ તો એ વાત નું થાય છે કે જયારે દેશમાં બધા જ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરે છે તેમ છતાં ભારતીય સંસ્કૃતિને એક આદર્શ માની ને પશ્ચિમી સંસ્કૃતિને ઉતારી પાડવામાં પાછું વાળીને જોતા નથી, અનુકરણ જો પશ્ચિમની સારી બાજુનું જ થતું હોય તો પ્રશ્ન નથી પરંતુ જે વાત ભારતીય સંસ્કૃતિની સારી અને સુંદર છે તે છોડવામાં રંજ નથી એનું દુ:ખ વધારે છે.
    સામાજિક જીવન દેશમાં વધારે છે, ખુબ સુંદર વાત છે, પણ એ જ સામાજિક જીવન ફક્ત અર્થકેન્દ્રિત થતું જાય છે. એ એક ચિંતા નો પ્રશ્ન છે, જે કહે છે કે પશ્ચિમ માં પણ એવું જ છે માટે અમે પણ એમ જ કરીએ છીએ, દિવાળી ના તહેવારમાં એક બીજાને ન મળવું પડે માટે પ્રવાસ નું આયોજન થાય છે, બેસતે વર્ષે, એકબીજાને ઘેર જઈને મળવાની પ્રથા લુપ્ત થતી જાય અને ક્રીસ્ત્માંસમાં પશ્ચિમ કરતા આગળ હોઈએ એટલો ઉત્સાહ દેખાડાય, કારણ સમજાતું નથી, પણ આપને અને આપની સંસ્કૃતિ ની વાતો અને ગર્વ માં જ ખુશ થઈએ છીએ,
    થોડું મૂળ વિષયથી બહાર કહી દીધું, ક્ષમા કરશો,

    Like

  17. Bhupendrasinh – સામાજિક સમાજ ની વ્યખ્યા કઈ રીતે કરવી?
    અણી નાં સમયે પહેલો સગો પાડોશી… કે… તમે શું કરો છો અને નથી કરતા તેની નોંધ-ડાયરી રાખતા પાડોશી?
    ખરેખર તો દરેક પ્રકાર-નાં-સામાજિક જીવન નાં સારા અને નરસા પાસા હોયજ છે. આપણે એક્-ભાષા બોલતા અમદાવાદ કે પુને નું ઉદાહરણ લઈએ તો… પડોશીઓ-મિત્રો-સગાઓથી જબરજસ્ત સોશિયલ લાઈફ છે … પણ અંગત-બાબતોમાં ચંચુપાત પણ એટલોજ છે. બીજી તરફ મુંબઈ?… હા મુંબઈ… આમ તો લાગણી વિહોણું-ઝડપી-યંત્રવત લાગે પણ… જયારે તમે દોડતા-ટ્રેન પકડો ત્યારે કોઈ મજબુત હાથ તમને સાંભળીને અંદર ખેંચી લે… વૃદ્ધ કે સંતાન-માતાને જબરજસ્ત ભીડમાં પણ બેસવા-ની-જગ્યા મળી જાય… પણ… હૃદય ? લાશ ઉપર પૈસા ફેંકી ને લોકો લાશને કુદીને જતા રહે… કોઈની છેડતી કે મારા-મારી થાય તો કોઈ જોવા પણ નાં ઉભું રહે… એક નજર ફેંકે કે આપડું તો નથી ને … બસ… સ્વકેન્દ્રી પણ સ્વાર્થી નહિ તેવી શહેરી (અર્બન)-લાઈફ.
    આ સ્વકેન્દ્રી અને મશ્તીષ્ક થી ચાલતી અર્બન-લાઈફ આપણ ને તે દરેક જગ્યા એ જોવા મળેજ કે જ્યાં – “ત્રણ થી વધારે ભાષા-ધર્મ-પ્રાંત થી લોકો આવતા હોય અને તે પણ ફક્ત રૂપિયા-રળવા માટે”…. એટલેજ USA માં લોકો એકબીજા-માં-માથું નાં મારતા પોતાના કામ પ્રત્યે ધ્યાન વધારે આપે છે… અને અંતે એકલા પડી જાય છે પણ તેવું જ તો મુંબઈ માં પણ છે જ ને…
    “જો હૃદય ને ખુશ કરવું હોય તો તમારી જન્મ ભૂમિ જાવ…
    અને… મશ્તીષ્ક ને ખુશ કરવું હોય તો કર્મ-ભૂમિ જ શ્રેષ્ઠ રહેશે…”

    Like

Leave a comment