હાશ!ઘર આવી ગયું.

BMTC Volvo
Image via Wikipedia

હાશ!ઘર આવી ગયું.
   *એક કહેવત છે કે ધરતીનો છેડો ઘર.આપણ દરેકને ઘણી વાર ઘર છોડી બહાર જવાનું થતું હોય છે.કોઈ સારા માઠા પ્રસંગે કે રજાઓમાં કોઈ પ્રવાસનું આયોજન કર્યું હોય ત્યારે રૂટિન જિંદગીથી કંટાળી ગયા હોઈએ ત્યારે ચેઇન્જ માટે બહાર જઈએ છીએ.ફરવાની ખૂબ મજા આવતી હોય છે.આનંદ પણ ખૂબ મેળવતા હોઈએ છીએ.પણ ગમે તેટલું બહારનું સ્થળ સારું હોય ઘેર આવીએ ત્યારે એક હાશ અનુભવીએ છીએ કે ચાલો ઘર આવી ગયું.ઘર એટલે ઘર.આવો હાશકારો દરેકે અનુભવ્યો હશે.
      *આશરે છ વર્ષે ૧૯ ફેબ્રુઆરીની સવારે જ્યારે હું વડોદરા પહોચ્યો ત્યારે આવો હાશકારો મેં અનુભવેલો કે હાશ!ચાલો ઘેર આવી ગયા.છ વર્ષથી જાણે હું મુસાફરી ઉપર ના હોઉં?છ વર્ષ અમેરિકા વસવાટ દરમ્યાન કોઈ પ્રવાસ ઉપર હોઉં તેમ લાગતું હતું અને વડોદરે પહોચ્યો કે હાશ! ઘેર આવી ગયા.

       *ત્યાર પછી એક મહિનો અને છ દિવસ ક્યાં પસાર થઈ ગયા કોઈ ખબર ના પડી.રોજ રાત્રે સુતા સુધી ફોનની રીંગ વાગ્યા કરતી.કોઈને કોઈ મળવા આવી પૂગતું.આજે સવારે નુવાર્કનાં એરપોર્ટ પર ઊતર્યો અચાનક સન્નાટો,બધું બંધ થઈ ગયું.પરમ શાંતિ,ના કોઈ અવાજ,ના કોઈ પ્રદૂષણ,ના કોઈ Heat  and  dust.ફરી એક લાંબો પ્રવાસ ચાલુ ક્યારે ઘેર પહોચીશું ખબર નથી.ક્યારે ‘હાશ ઘર આવી ગયું’એવા ઉદગાર અનાયાસે નીકળશે ખબર નથી.ક્યારે એવો હાશકારો અનુભવીશું ખબર નથી.અનંત પ્રવાસ,આપણે સહુ અનંતના પ્રવાસી છીએ.
મહિનો તો ઘણો ઓછો પડે.ઘણા બધાને વચન આપ્યા છતાં મળવાનું રહી ગયું.ફોન પર વાતો કરી પણ જાણે ધરવ થયો નહિ.’બસ ચાલો ત્યારે’ કહીને પણ કોઈ નવા મુદ્દે વાત આગળ વધ્યા કરતી.હજુ અહી તો ધ્રુજાવી નાખે તેવી ઠંડી છે.ત્યાં સતત ગરમી બહુ છે ની ફરિયાદ ચાલ્યા કરતી તે અહી આવીને ઓગળી ગઈ કે ભાઈ વતનની ગરમી પ્યારી હતી અહીંના સન્નાટા કરતા.
      *અમદાવાદનો વિકાસ ખૂબ થયો છે.જાણે સાવ બદલાઈ ગયું છે.વડોદરા પણ બદલાઈ રહ્યું છે.પણ ટ્રાફિક સેન્સ અને સમસ્યામાં કોઈ ફરક પડ્યો નથી.બધે અરાજકતા લાગે.પોલીસ પણ ચાર રસ્તે નિષ્ક્રિય ઊભી લાગી.પહેલા કરતા આ બાબતમાં વધુ બગડેલું જણાયું.ભાવ વધારામાં કોઈ નિયંત્રણ લાગ્યું નહિ.મન ફાવે તેમ ભાવ વધતા લાગ્યા.સરકારનો કોઈ કાબુ નથી.મોટાભાઈનું બેંગ્લોરમાં કહેવું હતું કે તમે છ વર્ષે આવ્યા છો એટલે અહીંનો ભાવ વધારો જાણી આંચકો લાગે તે સહજ છે પણ અમને અહી રહેતા અને ભાવ વધારાથી ટેવાતા જતા હોવા છતાં આંચકો લાગે છે.બેંગ્લોરનું નવું એરપોર્ટ શહેરથી ખૂબ દૂર આશરે ૪૫ કિલોમીટર દૂર બનાવ્યું છે.ત્યાંથી ટેક્ષી અને બસ સેવા સારી છે.ચાલો ટેક્ષી ઉપર જીવતા લોકોને સારો ધંધો મળી જાય છે.સરકારી વોલ્વો બસ સેવા પણ ચાલે છે.હું અને મારા શ્રીમતીજી બેંગ્લોર ઊતર્યા પછી ભાઈની સલાહ મુજબ લાલ રંગની વોલ્વોમાં બેઠાં.આપણાં મનમાં છ વર્ષ પહેલાની લાલબસની ઇમ્પ્રેશન.એમાં અમદાવાદની લાલબસની સેવા ખૂબ સારી અને ભાડા સસ્તા તે ઇમ્પ્રેશન વધારે.આ એ.સી.વોલ્વો બસ છે તેવી વાત યાદ ના આવી.મેં લાસ્ટ સ્ટોપેજની બે ટીકીટ માંગી.કંડક્ટર કહે થ્રી સિક્સટી,ફટ લઈને દસની નોટ ધરી દીધી.બાજુમાં બેસેલા  શ્રીમતી બોલ્યા ‘શું આબરૂ કાઢો છો’ત્રણસો સાઈઠ માંગે છે.સોરી!કહી પાંચસોની નોટ ધરી દીધી.ઉતરવાના સ્થળે તો મોટાભાઈ એમની કાર લઈને ઉભા હતા.એમને આ વાત કરીને ખૂબ હસ્યા.ઘેર જઈને બધાને મળીને ખબર અંતર પૂછીને ફરી આ વાત કરીને ખૂબ હસ્યા.હસવાનો જાણે મસાલો મળી ગયેલો.બેંગ્લોર મજાનું શહેર છે.ભીડ તો છે પણ ટ્રાફિક વ્યવસ્થા સારી છે.વડોદરામાં સાંજે વ્યસ્ત સમયે પણ સિગ્નલ લાઈટ બંધ હોય છે.બેંગ્લોરમાં હેલ્મેટ પહેર્યા વગર દ્વિચક્રી વાહન પર કોઈ ના બેસે.સ્ત્રીઓ પણ નહિ.બધાને માથે હેલ્મેટ હોય જ.લાલ બાગ,કબન પાર્ક,ટીપું સુલતાનનો મહેલ,શિવ ટૅમ્પલ અને ઇસ્કોન ટૅમ્પલ વગેરે જોવાની મજા આવી.ગરમી તો ત્યાં પણ ખૂબ લાગી.મારા વૃદ્ધ આશરે ૯૦ વર્ષે પહોચવા આવેલા ‘બા’ને મળીને ખૂબ વાતો કરીને એક સંતોષ મેળવ્યો.
     *વડોદરા આવીને પણ પેલો વોલ્વોવાળો બનાવ કહીને બધાને ખૂબ હસાવ્યા.ખરીદી,સગાઓને મળવાનું અને એકબે સામાજિક પ્રસંગો,એમાં ક્યારે મહિનો પૂરો થઈ ગયો ખબર જ ના પડી.બે દિવસ પછી ઘાંચીના બળદની જેમ કામમાં જોતરાઈ જઈશું.
ક્યારે દેશ આવીશું અને “હાશ!ઘર આવી ગયું” એવું ક્યારે કહીશું?   I do not  know.

ખંડનમહારાજ.

અમારા મોટાભાઈ શ્રી હરીશચંદ્રસિંહજીએ મારું નામ ખંડનમહારાજ પાડ્યું છે.તેઓ નાના હશે ત્યારે કોઈ ખડેશ્વરી મહારાજના દર્શન કરવા ગયેલા.એ મહારાજ ઉભા જ રહેતા બેસતા નહિ.માટે લોકો એમને ખડેશ્વરી મહારાજ કહેતા.એમના જણાવ્યા પ્રમાણે ખડેશ્વરી એક ખાડો ખોદી અંદર ઉભા રહેલા.હવે ઊંઘ આવે તો ગબડી જવાય અને તપોભંગ થઇ જાય માટે ખાડો એક વૃક્ષ નીચે ખોદેલો અને તે વૃક્ષની મજબુત ડાળ સાથે એક દોરડું બાંધી એક પાટિયું લટકાવેલ તે પાટીયા ઉપર માથું ટેકવી ઉભા ઉભા રાતની નીંદર અને બપોરની નેપ ખેંચી લેતા જે ધ્યાનમાં ખપી જતી હશે.સતત ઉભા રહેલા હોવાથી પગ એમના સૂજીને થાંભલા જેવા થઇ ગયેલા.હવે સહન નહિ થયું હોય તે એક દિવસ રાત્રે મહારાજ છૂમંતર થઇ ગયેલા.ફરી દેખાયા નહિ.મોટાભાઈશ્રી મારા સદનસીબે મારા વિચારોથી પરિચિત છે.નેટ પર તો વાચતા નથી પણ મારું પુસ્તક સંતાડીને વાંચતા હશે.એમના કહ્યા પ્રમાણે મારી વાતો લગભગ ખંડનાત્મક હોય છે માટે તેઓ પ્યારથી મને ખંડનમહારાજ કહે છે.અમને બધા ભાઈઓને અતિશય વાંચવાની બીમારી છે.એનો ત્રાસ વાચકમિત્રોને હવે સહન કરવાનો આવ્યો છે.

મોટાભાઈના  સર્કલમાં એક નવી હવા એવી ચાલી છે કે કુબેર ભંડારીના મંદિરે પાંચ અમાસ ભરવાથી મનોકામના પૂર્ણ થાય,એવી અફવા ફેલાવાઈ છે એ બહાને મંદિરની આવકમાં વધારો થાય તેવી કોઈ યોજના ટ્રસ્ટીઓની હશે.હવે ૨૯ દિવસ શંકર લિંગ બહાર રહેતા હશે ખાલી અમાસના દિવસે અંદર પ્રવેશી જતા હશે.ખેર ભક્તોની ભીડ અને મંદિરની આવકમાં વધારો થતો જાય છે.મનોકામનાઓ તો અનંત છે એકાદ એમજ મહેનત કરવાથી કે રૂટીન મુજબ પૂરી થતી હોય એટલે પત્યું.ભાઈના મિત્રની દીકરીને દીકરો જન્મ્યો તો કહે પેલી પાંચ અમાસ ભરવાથી આવું સારું બન્યું.ભાઈએ સવાલ કર્યો કે દીકરીને ગર્ભ તો તમે અમાસ ભરવાની શરુ કરેલી તે પહેલાનો રહેલો છે અને ગર્ભમાં નક્કી થઇ જાય કે દીકરો છે કે દીકરી.પેલા મિત્ર પાસે એનો કોઈ જવાબ હતો નહિ.

ભાઈએ હસવાની એક વાત એવી કરી કે એક બહુ ચર્ચિત બાપુ હમેશાં પ્રવચન આપે ત્યારે આત્મા અમર છે અને નિર્ભય બનો તેવી વાતો કરતા હોય છે.એમના સાબરમતી તીરે આવેલા આશ્રમની અંદર એમના પ્રવચન સ્થળે બુલેટપ્રૂફ કાચની કેબીનમાં બેસીને આત્માની અમરતાની અને નિર્ભયતાની સલાહ આપતા હોય છે.તાંત્રિક ગતીવિધીઓમાં ગવાઈ ગયેલા આ બાપુ એમની મોંઘી એવી કારમાં ડ્રાઈવરની બાજુમાં જ બેસતા હોય છે અને પાછળ ત્રણ સિક્યોરીટીના ગાર્ડ હથિયાર સમેત બેસતા હોય છે.હાલ આ બુલેટપ્રૂફ કાચનું કેબીન બાપુની યાદમાં ઝૂરી રહ્યું છે.છ સાત વર્ષ પહેલા ભાઈના એક મિત્ર જેમનો પોતાનો મેડીકલ સ્ટોર છે તેમના ઘરે એક સંપ્રદાયના ગાદીપતિની પધરામણી હતી.અતિશય સમૃદ્ધ એવા આ પંથના મૂળ સ્થાપક તો બ્રહ્મચારી હતા.અને ઉત્તરપ્રદેશથી એમના ભાઈઓના દીકરાઓને ગાદીપતિ તરીકે સ્થાપી દીધા અને એમના વંશજો માટે રોટલાની વ્યવસ્થા કાયમની કરી નાખી.આજે નવમી પેઢી જલસા કરે છે વગર મહેનતે.સાતમી પેઢીના આ ગાદીપતિને પાણીનો ગ્લાસ ધરવામાં આવ્યો જેમાંથી એક ઘૂંટ ભરી પાછો આપ્યો,એ એઠું પાણી પીવા માટે  તે પ્યાલાનો કબજો લેવા પડાપડી થઇ ગઈ.

ગાંધીનગરમાં ગેરકાયદેસર મંદિરોનો રાફડો ફાટી નીકળેલો.મોદી સરકારે આવા ગેરકાયદે મંદિરો તોડવાનું શરુ કરેલું.એક મંદિરનું ઉદઘાટન તો કોઈ પ્રધાને જ કરેલું.મંદિર તોડવાનું શરુ થાય તે પહેલા પુજારી કે માલિક પૈસાની પેટી લઇ રવાના,સાઈબાબાની મૂર્તિઓની ચિંતા કર્યા વગર પુજારી ભાગી ગયો.આવી ઉભી કરેલી ઘણી બધી દુકાનો તોડી પડાયા પછી ધર્માંધ નેતાઓની ધાર્મિક લાગણી દુભાઈ અને સરકારે એની ગઝની પ્રવૃત્તિ બંધ કરી.

ભાઈ સોમનાથ મહાદેવ ગયેલા.એટલે મને કહે કે ત્યાં વાચેલું કે નવ વખત સોમનાથ મહાદેવનું લિંગ અને મંદિર તોડી પડાયેલું.મેં કહ્યું સાચી વાત છે.વધારામાં ગઝનીએ તે લિંગને એના મહેલના પગથીયે ચણી નાખેલું જેથી એના ઉપર ચાલી શકાય અને જેટલું થાય તેટલું અપમાન કરી શકાય.તો ભાઈનો સવાલ આવ્યો કે આ લિંગ તો સ્વયંભુ જ્યોતિર્લિંગ છે તે જો ગઝની તોડી ગયો હોય તો આજે છે તે કઈ રીતે સ્વયંભુ કહેવાય?

અમારા ભાઈશ્રી આવી બધી વાતોનો મસાલો પુરો પાડી જતા રહ્યા સ્નાન કરવા અને હવે હું લખીશ તો મને કહેવાના ખંડન મહારાજને ખંડન કરવા સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ નથી.

હોલિકા દહન એક મૂરખ પરમ્પરા.

Holi bonfire.
Image via Wikipedia
હોલિકા દહન એક મૂરખ પરમ્પરા.
ભક્ત પ્રહલાદ એક નાનો નાજુક બાળક,એની ફોઈના ખોળામાં બેસાડી મારી નાખવાનું એના ખુદના પિતા કાવતરું કરે.એમાં નાનું નાજુક બાળક ભયંકર  અગ્નિ જ્વાલાઓમાંથી બચી જાય અને હોલિકા મરી જાય.અગ્નિનો ધર્મ છે બાળી નાખવાનો.બાળે તો બંનેને બાળી નાખે અને જો કોઈ એવો ના સમજાતો નિયમ હોય કે અગ્નિ બાળે નહિ તો બંને બચી જાય.એક બળી જાય અને એક બચી જાય તેવું તો બને જ નહિ.
ચાલો શિયાળો પૂરો થવા આવ્યો અને લાકડા બાળીને ઠંડીને વિદાય આપવી છે.તો હવે આજકાલ ૪૧ ડીગ્રી ગરમીમાં ઠંડી તો ક્યારની વિદાય થઇ ગઈ છે.તો વ્યર્થ લાકડા સળગાવી પ્રદુષણ વધારી અંગારવાયુ વધારી પ્રાણવાયુ અર્પતા વૃક્ષોનો નાશ કરવામાં કોઈ લોજીક દેખાય છે ખરું?મૂળ આર્યો આવ્યા રશિયા નીચેના ઠંડા પ્રદેશોમાંથી માટે આવા રીવાજો હોવા જોઈએ,કે શિયાળો વિદાય કરો લાકડા બાળી.પણ હવે ભારતની અસહ્ય ગરમીમાં આ મૂર્ખી પરમ્પરા જાળવી રાખવી મુરખતા કે મહામુરખતા?
ચાલો ધુળેટી રંગોનો તહેવાર છે.એકબીજા ઉપર રંગો છાંટી આનંદ મનાવો અને વસંત ઋતુના આગમનને વધાવો.પણ આ લાકડા બાળીને પ્રદુષણ વધારવામાં મને કોઈ ડહાપણ દેખાતું નથી.આવી મૂરખી પરમ્પરા જાળવવામાં પણ અતિરેક થાય છે.મારા ઘર આગળ એક હોળી પ્રગટાવી છે,આશરે ૨૦૦ ફૂટ દુર પોળનાં નાકે બીજી હોળી પ્રગટાવી છે.એક જ પોળની અંદર આશરે ચાર હોળી હશે.પોળે પોળે હોળી પ્રગટાવવાનો કોઈ અર્થ ખરો?નાના ગામોમાં ભાગોળે એક જ હોળી પ્રગટાવી તહેવાર મનાવાતો.એક તો રોડ ખોદી નાખવાના,એ ખાડા જલ્દી કોઈ પૂરવાનું નહિ,પણ વિચારે કોણ?
ચાલો અસુરી વૃત્તિઓનું દહન કરવાનું,તો એને માટે લાકડા બાળવાની શું જરૂર?આસુરી વૃત્તિઓ આપણાં મનમાં હોય છે તે લાકડા બાળવાથી દુર થઇ જવાની નથી.વૃક્ષો બાળવાથી આસુરી વૃત્તિઓ બળી જવાની નથી.ઉલટાના ઓક્સીજનના  રહ્યા સહ્યા સ્ત્રોત આપણે નાશ કરીએ છીએ.આવી મૂરખી પરંપરાઓ હવે બંધ થવી જોઈએ.ભલે હજારો વર્ષ જૂની હોય,આજે એની કોઈ જરૂર નથી.આ કોઈ ધર્મ નથી કે કોઈ આધ્યાત્મ નથી,ફક્ત એક રીવાજ કે પરમ્પરા પડી ગઈ છે કે અંધ બની અનુસર્યા કરો. 

વેશ્યાવૃત્તિ.Look!Hard Truths About Human Nature.

Prostitute in Tijuana, Mexico.
Image via Wikipedia
વેશ્યાવૃત્તિ
  M. Keith Chen અને Laurie R. Santos દ્વારા કરાયેલા એક રસપ્રદ સંશોધન  ઉપર,  “Monkeys are people too,”  પુસ્તકમાં Levitt અને Dubner નામના મહાનુભાવો ચર્ચા કરે છે
આ સંશોધન કરાયું છે capuchin  જાતના વાનરો ઉપર. એક નાનકડા કેપુચીન વાનરોના જૂથ આગળ પૈસાના થોડા સિક્કા રજુ કર્યા. આ વાનરોને ધીરે ધીરે પૈસાનું મહત્વ શીખવ્યું. અને આ સિક્કા કઈ રીતે વાપરવા તે શીખવ્યું. કોઈ વસ્તુની લેવડદેવડ પૈસા દ્વારા કરી શકાય, એમ એની ખરીદ શક્તિ સમજાવાઈ. બહુ ધીરજ અને ચીવટથી બધું શીખવાડ્યું કે સિક્કાની એક કિંમત છે અને એનાથી ખોરાક, ફળો વગેરે ખરીદી શકાય. જેવું સિક્કાનું પૈસાનું મહત્વ સમજાઇ ગયું કે એની કિંમત છે, એક નર વાનરે માદા વાનરને સિક્કો આપ્યો. શેના માટે? નવાઈ લાગશે સેક્સ માટે ભાઈએ સિક્કો આપેલો.
હા! મિત્રો કેપુચીન વાનરોમાં વેશ્યાવૃત્તિ સહજ છે. માનવ સિવાયની પ્રાણીઓની જાતો વેશ્યાવૃત્તિ આચરતી હોય છે તે નવું સંશોધન નથી.   Frans de Waal અને બીજા (primatologists)વૈજ્ઞાનિકોએ નોધેલું છે કે માનવજાતની લગભગ સમકક્ષ એવો બોનોબો જાતના એપ્સ વેશ્યાવૃત્તિ આચરતા હોય છે. તેઓ ખોરાક કે ફળો માદા વાનરોને આપે છે સેક્સના બદલે. હવે વાનરો અને એપ્સ  વેશ્યાવૃત્તિ સહજ રીતે નિયમિત આચરતા હોય તો વેશ્યાગીરી અને સેકસના વેપારનું મૂળ બહુ જુનું ઉત્ક્રાન્તિના ક્રમમાં જ છુપાયેલું છે. ઉત્ક્રાન્તિના વિકાસના ક્રમમાં આપણે માનવ ઉદભવ્યા તે પહેલા  વેશ્યાવૃત્તિ ચાલતી હતી એનો મતલબ  વેશ્યાવૃત્તિ પ્રોસ્ટીટ્યુશન સૌથી જુનો વેપાર છે.
આપણે માનીએ છીએ કે વેશ્યાવૃત્તિ ના હોવી જોઈએ. એમાં સ્ત્રીઓનું શોષણ જ છે. છતાં આ ચાલતું જ હોય છે. મેં પણ વાચેલું કે શ્રી રામ લંકા વિજય કરી પાછા આવ્યા ત્યારે ભરતજી સામે સ્વાગત કરવા ગયેલા ત્યારે શ્રી રામની સેનાનો થાક ઉતારવા વેશ્યાઓ સાથે લઇ ગયેલા. આપણને આજે આ વાંચવું યોગ્ય નહિ લાગે. બાપુઓ પણ આ વાત છુપાવતા  હોય છે. મોટાભાગે રામ કથા તુલસીની વંચાય છે, વાલ્મિકીની નહિ. એ સમયે કદાચ યોગ્ય મનાતું હશે. અથવા સહજ મનાતું હશે.
સેક્સનો મુખ્ય હેતુ પ્રાણીઓમાં તો એમના જિન્સ ટ્રાન્સફર કરવાનો અને વંશ આગળ વધારવાનો જ હોય છે. એના માટે માદાને ફોસલાવવા માટે ફળ અને ખોરાક આપીને ખુશ કરવાનો હોઈ શકે. સેક્સ વેપારના મૂળ અહી શરુ થતા હશે. એવું પણ હોય કે બળવાન નર પાસેથી માદા મેળવવી તે લોઢાનાં ચણા ચાવવા જેવું હોય. ત્યારે ફળ અને ખોરાક આપી બદલામાં સહજ રીતે વિના કોઈ લડાઈ સેક્સ માણી લઇ વંશ આગળ વધારી શકાય. અને એમાંથી વેપાર શરુ થઇ ગયો હોઈ શકે. અને આ વેપાર ઉત્ક્રાન્તિના ક્રમમાં માનવજાતને પણ વારસામાં મળ્યો. ગમે તેટલી બુમો પાડો લોહીનો વેપાર નકામો છે, માનીએ પણ છીએ કે લોહીનો વેપાર મતલબ વેશ્યાગીરી ના હોવી જોઈએ. પણ તે બંધ કેમ નથી થતું????

‘એક મિરીન્ડાનો શીશો દ્યો તો’

 હમણાં હસવાનો કાર્યક્રમ ખૂબ ચાલ્યો.પહેલા શ્રી યશવંત ભાઈના ઘરે અને પછી મારા ઘેર .ઘરમાં વિરાટ રાજા  જો પધાર્યા હતા.છે તો નાના ૧૧ વર્ષના હશે.પણ એમની રમુજ સેન્સ વિરાટ છે,કોઈ મોટા માણહને શરમાવે એવી છે.શીઘ્ર કવિની જેમ શીઘ્ર ઉત્તર હાજર જ હોય.કોઈઅમેરિકન બાળક જેટલા હેલ્ધી એટલે પોતાને ભીમરાજ કહે.બીજાની મશ્કરી કરવામાં ઉસ્તાદ એટલા પોતાની પણ કરી જાણે.પોતાને બેબી અપ્પુ,કે બેબી એલીફન્ટ કહે છે.એમના ફેમીલી સાથે પધાર્યા છે.ઘણા બાળકો એમના માતાપિતાની ઓળખાણથી ઓળખાતા હોય છે.ઘણા માતાપિતા એમના તેજસ્વી બાળકોથી ઓળખાતા હોય છે.એમાં માતાપિતાનું ગૌરવ છે.એમના માતાપિતા અને બહેનો સાથે આવ્યા છે.વિરાટસિંહ  મારા ભત્રીજા છે.શરીરે વિરાટ અને બોલવામાં,હસાવવામાં અને મસ્તી કરવામાં અનંત. મારા શ્રીમતી એ આવ્યા ત્યારથી અમાપ બોલવાનું બંધ કરીને અમાપ હસ્યા કરે છે.હવે પેટમાં વળ પડી ગયા છે,દુખાવો શરુ થઇ ગયો છે.પણ હવે કોઈ ઉપાય નથી,બસ હસ્યા કરો.મારા શ્રીમતીએ એમના માસી ગુલાબ  માસીનો ઉલ્લેખ કર્યો તો તત્ક્ષણ સામો શબ્દ આવ્યો રોઝી.અમે બધા હસ્યા તો કહે કહે કેમ ગુલાબ એટલે રોઝ અને ગુલાબ માસી એટલે રોઝી.
     ઘણા માણસો હસે તો હોરીઝોન્ટલ હલતાં હોય કે ડોલતાં હોય છે,અને ઘણા વર્ટીકલ.મારા શ્રીમતી ખડખડાટ હસે તો વિરાટ  કહેશે બમ્પર નીચે આવ્યું.આ ઉપરથી સમજી જવાય કે વિરાટની નિરીક્ષણ શક્તિ અદ્ભુત છે.વિરાટની યાદ શક્તિ ખૂબ,એકજ વાર બોલો એટલે કોમ્પ્યુટરમાં સ્ટોર થઇ જાય અને એની પેરોડી શરુ.મેં વાતો વાતોમાં અને મજાકમાં કહેલું કે રીલીજન ઈઝ પોઈઝન,રીલીજીયસ માઈન્ડ એક ટ્રેકથીજ વિચારતું હોય છે.મજાકમાં એટલા માટે કે હું ભલે પોઈઝન માનતો હોઉં પણ બીજા એને મધ જેવો માનતા હોય,તો મારે શું?અમે ઘણા વર્ષે મળ્યા છીએ માટે કોઈ એક વિષય પર ટકતાં નથી.ઘણું બધું સામટું કહેવાનું અને સાંભળવાનું હોય છે.કલાક પછી વિરાટ એમના મોટા બહેનને કહે મારા અંદાઝમાં રીલીજન ઈઝ પોઈઝન.એમના બહેને પૂછ્યું કે But  why? તો વિરાટ કહે ‘રામ જાણે’.
અમે મોલમાં ગયા.સારાભાઇ કેમિકલ હવે બંધ થઇ ગયું છે.એનું નાનકડું પ્રોડક્શન યુનિટ કરખડી ખસેડાઈ ગયું છે.એની મૂળ જગ્યાએ મોલ બની ગયા છે.વિરાટને મિરીન્ડા બહુ ભાવે.સ્ટોર પર જઈને કહે ‘એક મિરીન્ડાનો શીશો દયો તો’ .પેલો ખૂબ હસે.અહી બધા બોટલ શબ્દ સંભાળવા ટેવાયેલા.મને પણ જૂની યાદ તાજી થઇ ગઈ.અમે પણ કેરોસીનની શીશી એવો શબ્દ વાપરતા.બે દિવસ હસવામાં ક્યારે પસાર થઇ ગયા સમજ ના પડી.એમની તળપદી સૌરાષ્ટ્રની ભાષા પણ મજાની મીઠી લાગે.વિદાય ટાણે બધાને વળગીને મળી,લાડ પ્યાર કરીને ગયા તો અમારા બધાના હૈયા અશ્રુઓથી ભીંજાઈ ગયા હતા.