
આ ઘણા ના મનમાં સવાલ ઉઠતો હશે કે આ બાપુ આવું ક્યાં થી લખતા હશે?કોઈ બુક્સ વાંચતા હશે.એમાંથી ગુજરાતી કરી ઉતારા કરતા હશે.ભાઈલા આપણું અંગ્રેજી એટલું સારું નથી.બીજું આપણી પાસે એટલા બધા પૈસા પણ નથી કે અંગ્રેજી લેખકોની બુક્સ વસાવવાની હિંમત કરીએ.હા બુક્સ ઘણી બધી વાંચી છે.પણ બધા ગુજરાતી લેખકોની,એ પણ મફતમાં.હાજી મારા પિતાશ્રી વિજાપુર ની સાર્વજનિક લાયબ્રેરીના પ્રમુખ હતા.ગાયકવાડ સ્ટેટ ના નિયમ પ્રમાણે એમના રાજ્ય ના દરેક ગામ માં એક પ્રાથમિક શાળા,એક અખાડો ને એક લાયબ્રેરી જરૂર હોય.વિજાપુર ગાયકવાડી ગામ હતું.આમારા પુરાણી સર અખાડીયન હતા.પુરાણી બંધુઓએ ગુજરાત માં અખાડા પ્રવૃત્તિ શરુ કરેલી,એનો વટ કાયમ મારતા.જોકે એ અખાડા પ્રવૃત્તિ શરુ કરનારા પુરાણી બંધુઓમાંના નહોતા.ગુજરાતી અખાડા થી કાયમ દુર ભાગે.વડોદરામાં પોળે પોળે અખાડા છે.એમાં પણ મરાઠીઓ જ વધારે હોય.એટલે હું પણ પુરાણી સાહેબ જોડે કુસ્તીના દાવ શીખતો.દંડ પીલતો બેઠકો કરતો.પુરાણી સાહેબ ઉસ્તાદ થોડું જીતતા હોઈએ તેમ લડવા દે પછી એવી ધોબીપછાડ મારે કે ઉભાજ ના થવાય.પાછા ઉભા કરે ને શાબાશી આપે કે થોડા દિવસ માં મને હરાવી નાખવાનો.પણ એ કદી હાર્યા નહિ ને મારી સ્કુલ પૂરી થઈ ગઈ.
*આમારી સ્કુલ હતી આશ સેકન્ડરી હાઈસ્કુલ.પ્રિન્સીપાલ હતા ગોપાલભાઈ પટેલ.પિતાજી ના મિત્ર હતા.એ જમાના માં પૈસા કરતા પ્રેસ્ટીજ નું વધારે મહત્વ હતું.વિજાપુર માં પિતાજી ની પ્રેસ્ટીજ ખુબ હતી.લગભગ બધાજ શિક્ષકો પિતાજી ને ઓળખતાં હોય.એનો લાભ એ હતો કે માર વધારે પડતો.વકીલસાહેબ નો દીકરો છે,બગડવો ના જોઈએ ઠોકો એને.એના લીધે ક્લાસ માં આગળ રહેતો.લાયબ્રેરીમાં જતો તો જનુભાઈ ચાવીઓ નો ઝૂમખો આપી દેતા,કઈ બુક કયા કબાટ માં છે એવું પૂછ પૂછ ના કરું માટે.નવી પેઢીના ગુજરાતી લેખકોને પણ મેં ખાસ વાંચ્યા નથી.નવનીત સેવક અને છેલ્લે હરિકિશન ગાંધી ચિત્રલેખા વાળા ને વાંચ્યા છે.પછી ખાસ કોઈ નહિ.ગુણવંત શાહ ને પણ કટારો માં જ વાંચ્યા છે.કોઈ અંગ્રેજી ફિલોસોફરો ને વાંચ્યા જ નથી.ખાલી નામ સાંભળ્યા છે.આપણી પાસે આટલું બધું ઉંચી જાતનું ફિલોસોફી થી ભરેલું સાહિત્ય હોય ત્યાં બીજા ને ક્યાં વાંચીએ?એટલે હું કોઈ એવા લેખકોના અવતરણો મુકતો નથી.ખબર હોય તો મુકુને.
*એક ચવાઈ ગયેલી જોક્સ છે કે વાણિયા, બ્રાહ્મણ ને બાપુનું બ્રેન વેચવા મુકેલું.તો બાપુના બ્રેન ના વધારે પૈસા મળેલા.કેમકે કદી વપરાયું જ ના હોય.ભગવાને જેવું આપ્યું હતું એમજ હતું.આમેય લડવા માં બ્રેન શું વાપરવાનું?દેવાજ માંડવાની ને.પહેલો ઘા રાણા નો.જો વિચારવા બેસીએ,બ્રેન વાપરવા બેસીએ તો લડવાનો સમય વીતી જાય,સામે વાળો આપણાં ને મારી જાય.એટલે વિચારવાની ટેવ જ ના પડેલી.કેસરિયા રજપૂતો કરતા એ કદાચ નવી પેઢીમાં તો ખબર નહિ હોય.કેસરિયા એટલે જયારે ખબર પડે કે હવે હારવાના જ છીએ.કોઈ કારી ફાવવાની નથી,ત્યારે રજપૂતો અફીણ ના કેસરિયા કસુંબા પી ને દુશ્મન ના સૈન્ય ઉપર ગઢ ના દરવાજા ખોલી ને તૂટી પડતા.દે ઠોક જેટલા માર્યા એટલા ખરા.બાકી મરવાનું તો છેજ.આ એક જાતનું આપઘાતી વલણ હતું.બધાજ માર્યા જતા.બોલો આવી રીતે આપઘાત કરવા કોઈ બ્રેન વાપરતો માણસ જાય ખરો? આ બાજુ રજપૂતાણીઓ દુશ્મન ના હાથ માં ના પડાય માટે મોટા કુવામાં અગ્નિ પ્રગટાવી કુદી પડતી.મુસલમાનો સામે રાજસ્થાન માં તો છાસવારે આવું બનતું.લાખો ના સૈન્ય સામે થોડા હજાર રજપૂતો આવી રીતે આત્મહત્યા કરવા નીકળી પડતા.આ દેશ માટે,આ દેશ ની પ્રજાના રક્ષણ માટે રજપૂતોએ જેટલા બલિદાન આપ્યા છે એટલા બીજા કોઈએ નથી આપ્યા છતાં આ દેશ ની પ્રજાએ રાજપૂતોને વગોવવામાં કશું બાકી નથી રાખ્યું.જ્યાં ને ત્યાં ફિલ્મો ને ટીવી સીરીયલો માં ઠાકુર એટલે ખરાબજ.આમારા ન્યુ જર્સી ના રેડીઓ પર એક જાહેરાત આવે છે.છોકરી બોલે છે,”પાપા લગ્ન તો રજપૂતો ની શાન થી કરીશ,એકદમ રાજપુતાના સ્ટાઈલ થી જ કરીશ”.રાજપૂતોની સ્ટાઈલ ગમે રજપૂતો ના ગમે. થોડા ખરાબ તત્વો ને લીધે આખી કોમ વગોવાય તેવું છે.
* એટલે મૂળ વાત એવી છે કે બ્રેન હોય પણ વાપરવા બેસીએ તો લડાય નહિ ને આપઘાત કરવા તો બિલકુલ ના જવાય.એટલે રાજપૂત સાહિત્યકારો ખુબજ ઓછા છે.નહીવત છે.ગુજરાતીમાં તો મેં ખાલી કિશનસિંહ ચાવડા ને વાંચેલા.ને દિલાવરસિંહ જાડેજા અખંડ આનંદ ના સંપાદક હતા,એમને થોડા વાંચેલા.બાકી ગુજરાતી સાહિત્ય કારોમાં કોઈ બીજું ખાસ જણાતું નથી.એટલે ઘણા બધાને થતું હશે કે આ બાપુ નક્કી કોઈ તફડંચી કરતા હશે.પણ ભાઈ હવે લડવા જવાનું નથી એટલે બાપદાદા ઓએ ના વાપરેલું બ્રેન વાપરવા માંડ્યું છે.અને હવે આત્મહત્યા કરવા પણ જવાનું નથી.જુઓ એટલે મારા ઘર માં ત્રણ પીએચડી થયા છે,ને બે વૈજ્ઞાનિકો છે.એટલે જયારે મારા ભેજા માં જ ટનાટન વિચારો ને નવા તુક્કા સુજતા હોય ત્યાં બટ્રાંડ રસેલ,પોલ સાન્ત્ર કે ટોલ્સટોય ને કોણ પૂછે ?ખાનગી વાત એ છે કે આ લોકોને વાંચ્યા હોય તો એમના વિશેનું લખુને? સાયંસ ચેનલો ટીવી પર જોવાની,સાયન્સ વિશેની ડોક્યુમેન્ટ્રી ફિલ્મો જોવાની.એમાનું જેટલું અંગ્રેજી સમજાય તેટલું લખવાનું.એમાં આપણાં પોતાના એવા ખણખણતા મંતવ્યો ઉમેરવાના કે વાંચનાર ની ખોપરી હાલી જાય.એટલે અશોક ભાઈ લખે છે કે ઝટકો લાગે તેવું લખો છો.ઝટકા મારવાની બાપદાદા ઓ ની આદત જો વારસા માં મળી છે,તલવાર હોય કે કલમ શું ફેર પડે છે?અને સામે ગમેતેવો મહારથી હોય શું ફેર પડે છે?
*અને ખોટું તો સહન ના થાય.પછી ગુણવંત શાહ હોય કે મોરારીબાપુ હોય કે પછી ભગવાન શ્રી રામ જ કેમ ના હોય.મોરારી બાપુ આપકી અદાલત માં બોલ્યા કે “પઢાઈ હાર ગઈ ભજન જીત ગયા” તો આપણી ખોપરી તો હટી ગઈ.આલ્યા તો પછી ભણશે કોણ? બધા કઈ ભજન કરી તમારી જેમ કરોડોમાં થોડા નહાશે?ગુણવંત ભાઈ બાપુ ના વાદે ચડ્યા છે “રામ કથા જગ મંગલ કરની”,જગ નું તો ઠીક ભારત નું ભલું સુદ્ધાં નથી થયું.રોજ લોકો ગોદાવી જાય છે.નાનું સરીખું બાંગલાદેશ પણ ગોદો મારી જાય છતાં બોલાતું નથી.આપણાં બી.એસ.એફ ના જવાનોને મારી નાખી કુતરા ઢસેડતા હોય તેમ ઢસેડતા હતા,તેવા ફોટા પણ આવેલા છતાં કાયરો કશું બોલ્યા નહતા.એટલે જેવું લાગે તેવું લખવાનું મોણ નાખવાનું ના ફાવે.
*ના વાપરેલા બ્રેન વાપરવા કાઢીએ તો આવું થાય.


![images[8]](https://raolji.com/wp-content/uploads/2010/03/images8.jpg?w=474)



