ગુરુ ગુલામી!!!!૫૦ લાખ સાધુઓ?બાપરે!!અધધધધ!!!

                    ગુરુ ગુલામી!!!!૫૦ લાખ સાધુઓ?બાપરે!!અધધધધ!!!
   *ગુલામ માનસિકતા ને ઘણા કોલોનિયલ માઈન્ડ પણ કહે છે.અંગ્રેજો ૨૦૦ વર્ષ ભારત ને ગુલામ રાખી ને ગયા.એટલે પ્રજા ની માનસિકતા માં અંગ્રેજો ને અંગ્રેજી પ્રત્યે ની ગુલામી લોહીમાં વણાઈ ગઈ.પણ ગુરુઓ ની ગુલામી,ગુરુગુલામી પ્રજાના અચેતન મનમાં સમાઈ ગઈ છે અને એ પાછી વારસા માં સંતાનોને પણ જીન્સ માં આપતા જવાની.કોઈ ને ગુરુ વગર ચાલે જ નહિ.ઇન્દિરા ગાંધી હોય કે જવાહર કે ગાંધીજી હોય કે કોઈ પણ નેતા.બધા ગુરુઓ પાસે દોડી જતા.આશીર્વાદ લેવા,સલાહ લેવા.બીજા કોઈ દેશ ના નેતાઓ સાધુઓ ની સલાહ લેવા જતા નથી,માટે એ દેશો ભારત કરતા બળવાન છે.અને આગળ પણ છે.સાધુઓ ની સલાહ લઇ ને કયું દેશ નું ભલું થયું છે? દેશ તો હજાર વર્ષ ગુલામ રહ્યો છે,ગરીબ બન્યો છે,કાયર બન્યો છે. ભીખારીઓ ની સલાહ થી દેશ કદી બળવાન બનતો હશે ભલા?મુરખો છે જે દેશ ચલાવવા માટે સાધુઓ ની સલાહ લેવા દોડી જાય છે.કે આશીર્વાદ લેવા દોડી જાય છે.હા કોઈ અપવાદ હોઈ શકે.જેવા કે ચાણક્ય.પણ એવા અપવાદ કેટલા?ચંદ્રગુપ્ત નું સામ્રાજ્ય બળવાન હતું કારણ એને જાસુસી સંસ્થા નું મહત્વ ચાણક્યે સમજાવેલું.રાજ્ય ના જાસૂસો સીધા ચાણક્ય પાસે માહિતી આપવા જતા.બંગલા દેશ નું સર્જન થયું એ ૧૯૭૧ નું યુદ્ધ અર્ધું તો ભારત ની જાસુસી સંસ્થા “રો” કારણે જીતાએલું.આ “રો” ને કદ પ્રમાણે વેંતરી એને લગભગ નિષ્ક્રિય બનાવવાનું મહાપાપ શ્રેષ્ઠ ગણાતા વડાપ્રધાન મોરારજી દેસાઈએ કરેલું.કચ્છ જેવડું ઈઝરાઈલ કોઈ ને ગાંઠતું ના હોય તો એનું કારણ એની મહાન જાસુસી સંસ્થા મોસાદ છે.
          *બધાને આશીર્વાદ થી કામ ચલાવી લેવું છે.કોઈ ઠોસ કામગીરી કરવી નથી.કર્મ નો નિયમ અફર હોય ને કર્મ નું ફળ મળવાનું જ છે,અને કર્મો ભગવાન ને પણ છોડતા નથી તો આશીર્વાદ ની શી જરૂર?પ્રાર્થના ની શું જરૂર?જો પ્રાર્થના તમે કરેલા ખરાબ કર્મો કે કરેલી ભૂલ માંથી બચવા કરતા હોવ તો.બાકી પ્રાર્થના કર્યાં કરો કોઈ વાંધો નથી.ભગવાન મહાવીર આ કર્મ ના નિયમ ને જાણતા હતા,માટે આખી જીંદગી ક્યારેય પ્રાર્થના કરી નથી.ભારતમાં આશરે ૫૦ લાખ સાધુઓ છે,એવું કોઈ આર્ટીકલ માં દિવ્યભાસ્કર માં વાંચ્યું.જો એ સાચું હોય તો?
        આ ૫૦લાખ સાધુઓ કશુજ કરતા નથી.નથી કોઈ વસ્તુ નું ઉત્પાદન કરતા.નથી કોઈ સેવા વેચતા.મફત માં પ્રજા ના પૈસે લહેર કરે છે.એક સાધુ પાછળ ઓછામાં ઓછા રોજ ૫૦ રૂપિયા પ્રજા ના વપરાતાં હોઈ શકે.કારણ ભૂખ્યા તો રહેતા નથી.૫૦ રૂપિયા કરતા પણ વધારે વપરાતા હોઈ શકે બીડી ગાંજા ના પૈસા કોણ આપતું હશે?એમનું ખાવાનું,એમની ચા,દૂધ,ભગવાં કપડા,ફલાહાર, એ તો કમાવા જતા નથી.તો સાદો હિસાબ ગણો.રોજ એક સાધુ પાછળ ૫૦ રૂપિયા એટલે ૫૦ લાખ સાધુઓ પાછળ રોજ ના કુલ્લે થઇ ૨૫૦૦ લાખ રૂપિયા થયા.અને વર્ષ ના ૩૬૫ દિવસ ના થઇ ૯૧૨૫ કરોડ રૂપિયા વપરાતાં હશે.આ તમામ પૈસા પ્રજાના ખીસા માંથી જાય છે.આ તો સીધા સાદા ફેમસ ના હોય તેવા સાધુઓ નો પ્રજાના માથે પડતો ખર્ચો છે.ફેમસ ગુરુઓ તો બીજા કરોડો રૂપિયા પ્રજા ના ખીસા માંથી ખંખેરી લે છે,કશું કર્યાં વગર.ભારત ની ઈકોનોમી માટે ખતરા રૂપ છે,આ સાધુ સંસ્થા.દેશ ના વિકાસ માટે કોઈ જરૂર નથી આ સાધુઓ ની.આ સાધુઓ નહિ હોય તો દેશ નો વિકાસ સારો થશે.ઈકોનોમી સુધરશે.પ્રજાના મહેનત ના રૂપિયા બચશે.ઉપર નું ગણિત ખોટું હોય તો જણાવશો,સુધારી લેવામાં આવશે.
        *જેને કામ કરવું નથી એ સાધુ બની જાય છે.ભગવાં પહેરી લીધા એટલે પત્યું.બાકીની એમને જીવતા રાખવાની જવાબદારી પ્રજાની.ઘણા બધા નું કહેવું છે કે બેચાર ખરાબ સાધુ ઓ ને લઈને આખી સાધુ સંસ્થા ને ના વખોડાય.મારું કહેવું છે બે ચાર ગણ્યા ગાંઠ્યા સારા સાધુઓ ને લઈને આ આખી નિષ્ક્રિય સાધુ સંસ્થા ને શા માટે વેઢારવી?સ્વામી વિવેકાનંદ જેવા સાચા સાધુઓ,ગુરુઓ કેટલા? અને જે સાચા છે એતો સંસાર માં રહી ને પણ ભક્તિ કરી શકશે.તમામ ઋષિ જગત પરણેલું હતું.ઘણા ઋષીઓ ને બે પત્નીઓ હતી.ઘણા નું માનવું છે કે આ સ્ત્રીઓ સાધુઓ ને ચળાવે છે.ચલિત થઇ જવાય એવી સાધુતા શું કામની?કે પછી સ્ત્રીઓ ની ભાવનાઓ ને બહેલાવી સાધુઓ એમની ગુપ્ત સળવળી રહેલી વાસના સંતોષી તો નથી લેતાને?
       *એક ની એક રામકથા કહી કહી ને કરોડો રૂપિયા ઘર ભેગા કરી લેનારા બાપુઓ નો તોટો નથી આ દેશ માં.એકના એક મંદિરો બનાવી પ્રજાના કરોડો રૂપિયા પથ્થરોમાં નાખવામાં આવી રહ્યા છે.એક સોમપુરા ફેમીલી નું ભલું થાય છે,અને બાકીના લાખો લોકોના ખીસા હળવા થાય છે.આ સોમપુરા ફેમીલી તો બીજું કામ શોધી લેશે.એ કાઈ ભૂખે મરવાનું નથી.એમની વિદ્યા ઘર બાંધવામાં વાપરશે.મંદિરો જેવી સોસાયટી બનાવશે,એપાર્ટમેન્ટ બનાવશે.જે મજુરો મંદિર બનાવવામાં કમાય છે તે મકાનો કે ફેક્ટરી બનાવવામાં કામ લાગશે.
       *કુંભ ના મેળા વખતે ગંગા ને ગંદી કરતા,સ્નાન કરતા લાખો સાધુઓ ના ફોટા હોંશે હોંશે છાપવામાં આવે છે. અને શિવરાત્રી વખતે ગાંજો પીતા સાધુઓ ના ફોટા પણ છાપી ને છાપાંઓ પુણ્ય કમાય છે.લોકો ખુશ થાય છે,કેવો મહાન દેશ છે અમારો.બેચાર ડફોળ શંખ જેવા ધોળિયાઓને  પણ એમના સંગે ચડેલા જોઈ પાછા વધારે લોકો ખુશ થાય છે,કેવી મહાન સંસ્કૃતિ!!! સાક્ષરો ફટાફટ લેખો લખવા માંડી પડે કે આવી મહાન સાધુ સંસ્થા,ધોળિયા પણ માને છે.ઉતાવળ માં એક લેખકશ્રીએ એવું પણ લખી નાખ્યું કે પશ્ચિમ ના લોકો સંજીવની વિદ્યામાં વિશ્વાસ રાખે છે,માનતા થયા છે.મરેલા ને જીવતો કરવાની વિદ્યા.કૉમા માં ઉતરી ગયેલા પાછા ભાન માં આવે છે,પણ મરેલા કઈ રીતે જીવતા થાય?કાંતો પછી કૉમા માં ઉતારેલા ને મરેલા માનતા હશે.અને ભાન માં પાછા આવે તો માનતા હશે કે સંજીવની વિદ્યા વાપરીને ઠીક કર્યાં હશે.
        *સમજો જ્યાં ચોરી વધારે થતી હોય ત્યાં પોલીસ ની જરૂર વધારે.જ્યાં અધર્મ વધારે થતો હોય ત્યાં વધારે ધર્મ ની,સાધુઓ કે ગુરુઓની વધારે જરૂર પડે.પછી ચોર લોકો એમનો ધંધો ચાલુ રાખવા પોલીસ ને પણ ભ્રષ્ટાચારી બનાવી કાઢે.એમજ અધર્મ ચાલુ રાખવા સાધુઓ ને ગુરુઓ ને પણ ભ્રષ્ટાચારી બનાવવા પડે,કે બનવું પડે.પછી ચોર લોકો જ પોલીસ ની નોકરી માં ઘુસી જાય.એટલે પકડાવાની કોઈ ચિંતા નહિ.એટલે પછી અધર્મીઓ ને કામચોરો સાધુ બની જાય,ગુરુ બની જાય.એમાં સાચા ગુરુઓ ખોવાઈ જવાના.અભિનય ની કળા ના નિષ્ણાત ગુરુઓ સાચા ગુરુ હોવાની જબરદસ્ત એક્ટિંગ કરે,ભાષણો આપે,હૃદય દ્રાવક કથાઓ કરે,કરોડો રૂપિયા ભોળી પ્રજાના ખંખેરી લે.મિલકતો,આશ્રમો ઉભા થાય.પછી એના કબજા ને વારસા માટે ઝગડા થાય.ખૂન પણ થઇ જાય. સાધુ સંસ્થા દેશ માટે નુકશાન કારક છે. ગુરુગુલામી માનસ વધારે નુકશાન કારક છે,પ્રજા માટે,પ્રજાના ખીસા માટે.
 
About these ads

નાની નાની વાતોમાં હસવું…(રમેશ તું તો સ્વર્ગ માં ચાલ્યો)..

નાની નાની વાતોમાં હસવું,,(રમેશ તું તો સ્વર્ગ માં ચાલ્યો)..
    *અમારી રાત્રીની જોબમાં બ્રેકમાં મિત્રો સાથે ગામગપાટ બહુ ચાલે. ભારતના સમાચારોની પણ ચર્ચા ચાલે. અમારા એક મિત્ર છે રમેશ ભાઈ. અમે એમને રમેશ મોટા કહીએ છીએ, કદમાં છોટા છે એટલે. એ કહે જયારે એ અમેરિકા આવવા નીકળ્યા ત્યારે કોઈ એમનો મિત્ર મળવા આવેલો. તે મિત્ર કહે ‘રમેશ તું તો સ્વર્ગમાં ચાલ્યો’. અમેરિકા એટલે સ્વર્ગ. મેં રમેશભાઈ ને કહ્યું ત્યારે હવે અમે તમને  સ્વર્ગસ્થ રમેશભાઈ કહીશું. મને કહે જીવતે જીવ સ્વર્ગસ્થ? મેં સમજાવ્યા એવું નહિ. તમારા મિત્રના કહેવા મુજબ અમેરિકા એટલે સ્વર્ગ, અને તમે અમેરિકા સ્થિત એટલે સ્વર્ગમાં સ્થિત, સ્વર્ગસ્થ કહેવાઓ. તો કહે ઠીક ચાલશે.
    *હું ભારતમાં હતો ત્યારે ક્યાંક બહાર જઈએ અને ભૂખ લાગે તો શું ખાવું?ચોખ્ખાઈનો અભાવ હોય એટલે ગરમા ગરમ ભજીયા ખાઈને ચા પી લેવાની એટલે બેક્ટેરિયાનો ભય નહિ. આવી માનસિકતા અમારા મિત્ર કમેલશભાઈ પટેલની પણ ખરી. એ જયારે અમેરિકા આવવા પહેલી વાર પ્લેનમાં બેઠા ત્યારે પહેલો વિચાર એવો આવેલો કે આપણે તો ફાવ્યા. મોટો હોલસેલ  મેડીકલ દવાઓનો ધંધો પિતરાઈ ભાઈઓને સોપીને અહી આવીને  કેટલા ફાવ્યા તે તો એમનું મન જાણે છે. પણ એટલાન્ટા ઉતરી ને એમના ભાઈના ઘેર જવા કારમાં બેઠા ને રસ્તો જરા લાંબો હશે ને ભૂખ લાગી હશે તો ભાઈ ને કહે જરા કોઈ રેસ્ટોરાં આવે તો ઉભી રાખજો ગરમા ગરમ ભજીયા ખાઈએ. ભૂલી જ ગયા કે આ ગુજરાત નથી, અમેરિકા છે. જો કે અહી ન્યુ જર્સીમાં ઇઝલીનમાં ભજીયા ખાવા મળે છે. એ વાત યાદ કરીને હજુ બધા હસે છે.
      *સાંધા શુલ નિવારણ કેન્દ્ર (Healing joints) માં કટીશુલ(Back pain)નિવારણ માટે એક મનીષભાઈ આવે છે. જરા વાતોડિયાને હસમુખા છે. હું મારા કંધશુલ(ખભા) નિવારણ માટે જતો હોઉં છું. એમને નૈયા નામની પરિચારિકા મશીન પર સુવડાવી ઉપર છાતીના ભાગે બેલ્ટ બાંધે અને કમરના ભાગે પણ બેલ્ટ બાંધે. પછી મશીન આગળ પાછળ થાય. ટૂંકમાં કમરના ભાગે સ્પાઈનલ  કોર્ડ ખેંચાય, સ્ટ્રેચ થાય. આ નૈયાને હું લાડમાં મૈયા કહું છું. સદાય મંદ મંદ હસતી દીકરી જેવી લાગે. મનીષભાઈનો વારો પૂરો થયો. બોલકણા મનીષભાઈ કહે આ નૈયાએ બળદ બાંધ્યો હોય એમ મને બાંધેલો. પછી એમને અંદર  રૂમમાં  કમર ઉપર હોટ પેક મૂકી ઉંધા  સુવડાવવામાં આવેલા. પેલા મશીન પર સંપૂર્ણ  ભીને વાને એવી મહાકાય વિદેશી બાઈ ને નૈયા એ બાંધીને મશીન ચાલુ થયું. મને શું સુજ્યું કે મનીષભાઈ પાસે જઈ કહ્યું કે, જુઓ આ નૈયા એ પહેલા બળદ બાંધેલો ને હવે ભેંસ બાંધી છે. ખલાસ મનીષભાઈનું હસવું માય નહિ. હાથ પછાડી પછાડી ને હસે જ રાખે. આ મનીષભાઈ(મીનેષભાઈ)ન્યુયોર્કના ગુજરાતી સમાજના વાઈસ પ્રેસિડેન્ટ છે, હજુ મળે ત્યારે ખુબ હસે, ને કહે મારી જીંદગીમાં ક્યારેય આટલું હસ્યો નથી. આમારા ફીઝીયો થેરાપીસ્ટ પૂર્વીબેન પણ વડોદરાના જ છે. મારા હાથનું સ્ટ્રેચિંગ કરે તો બુમો પડાઈ જાય. તો હું બુમ પાડું કે “મૈયા બચાવો”. તો નૈયા મંદ મંદ હસે બોલે નહિ. વિચારતી હસે કે તમને બચાવાવનું પાપ હું ના કરું.
   *આ મૈયા(નૈયા)આજે લંગડી લંગડી ચાલતી હતી. મેં પૂછ્યું શું થયું? તો કહે ઢીંચણમાં કશું થયું છે. મેં કહ્યું કઈ રીતે પડી ગઈ હતી કે શું? તો કહે ના. ખબર નથી કેમ દુખાવો થયો? આ દુખાવાને કોઈ કામ ધંધો નહિ હોય? પૂર્વી બહેન કહે કદાચ હાઈ હિલના શુઝ પહેરવાથી થયું હસે. મેં કહ્યું હાઈ હિલની જરૂર હોત ને તો  ભગવાન ખુદ જ સ્ત્રીઓની એડીમાં મસલ્સ વધારે ભરી ને હાઈ હિલ બનાવી કાઢત. સ્ત્રીઓના કમર અને પગના વિવિધ સાંધાઓના દુખાવાનું કારણ હાઈ હિલના શુઝ  પણ હોય છે. આ નૈયા ને હું મૈયા એટલા માટે કહું છું કે નાની નાની દીકરીઓમાં ભાઈ ભાંડુઓ તથા માબાપની કાળજી, માતા જેવા ભાવ થી રાખવાનો ગુણ કુદરતી રીતે હોય છે. એની ખોટ મારા જેવા દીકરી વગરના માણસને ખુબ જ સાલતી હોય છે.

પૃથ્વીરાજ-સંયુક્તા…અમર પ્રેમ કહાની, વિલાસિતા કે પછી વ્યભિચાર?

પૃથ્વીરાજ-સંયુક્તા—–અમર પ્રેમ કહાની, વિલાસિતા કે પછી વ્યભિચાર?
*ઈતિહાસના આયનામાં પુછવા જેવા કેટલાક સવાલો છે. ભારતના ઈતિહાસમાંની ઘણીબધી  પ્રેમકથાઓ વચ્ચે પૃથીરાજ ચૌહાણ અને સંયુક્તા ની પ્રેમકથા મહત્વનું સ્થાન ધરાવે છે. મારો આ મહાન છેલ્લા દિલ્હીના સ્વતંત્ર હિંદુ રાજાની અવહેલના કરવાનો જરાપણ ઈરાદો નથી. આ એક એવો મહાન વીર રાજા હતો, જેણે ફક્ત ૨૦ વર્ષની ઉંમરમાં દિલ્હીની ગાદી મેળવી ને બહુ ઝડપથી. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશમાં પોતાની આણ સ્થાપિત કરી દીધી. પૃથ્વીરાજનો સમય કાલ ઈ.સ.૧૧૬૬ થી ૧૧૯૨ નો છે.
*દિલ્હીના અને ગૌડ એટલે બંગાળના સંયુક્ત રાજા બલ્લાલ સેનને બે દીકરીઓ હતી. ઘણા અનંગપાલસેન પણ કહે છે. બે દીકરીઓમાંની રૂપસુંદરી કનોજના રાજા વિજયપાલ સાથે પરણાવેલી, એનો દીકરો થયો રાજા જયચંદ. બીજી કમલાદેવી પરણાવી અજમેરના રાજા સોમેશ્વર ચૌહાણ સાથે. એનાથી દીકરો થયો તે પૃથ્વીરાજ ચૌહાણ અને દીકરી થઇ પ્રથા. આ પ્રથાને ચિતોડના મહારાણા સમરસંગ સાથે પરણાવેલી. આ સોમેશ્વર ચૌહાણે ગુજરાતના રાજા ભીમદેવ સોલંકીને પણ હરાવેલો. એટલે લોહીની સગાઈએ કનોજના જયચંદ અને પૃથ્વીરાજ  બંનેની માતાઓ સગી બહેનો હતી. માટે બંને થયા મસિયાઈ ભાઈઓ. બંનેના નાના દિલ્હીના રાજાને કોઈ પુત્ર સંતાન ના હોવાથી છેવટે કોઈ કારણસર દિલ્હીની ગાદી આપી પૃથ્વીરાજને, જયચંદને કશું ના મળ્યું. વેરના બીજ ત્યાં રોપાયા બંને વચ્ચે.
    *પૃથ્વીરાજ ને અજમેર તથા દિલ્હી બંને રાજ સાથે સંભાળવાના થયા. ગુજરાત ઉપર ચડાઈ કરી ફરી ચૌહાણોએ સોલંકી રાજા ભીમદેવને હરાવી નીચાજોણું કરાવ્યું. પૃથ્વીરાજને એ જમાનાના રાજાઓના રીવાજ મુજબ અનેક પત્નીઓ હતી. સંયુક્તા પોતાના કાકાશ્રી એવા પૃથ્વીરાજ પ્રત્યે આકર્ષાઈ. સવાલ એ છે કે હિંદુઓમાં લોહીની સગાઇ હોય તેવા લગ્નો કે પ્રેમ સબંધો માન્ય ના હતા. વૈજ્ઞાનિક દ્રષ્ટીએ પણ લોહીના સબંધ હોય ત્યાં લગ્ન કરી સંતાન પેદા કરવા યોગ્ય નથી. સંયુક્તા પૃથ્વીરાજના માસીયાઈ ભાઈની દીકરી હતી, એ હિસાબે ભત્રીજી થઇ કહેવાય. કાચી ઉંમરની ભત્રીજી કાકા પ્રત્યે આકર્ષાઈ હોય ત્યારે કાકાની શું ફરજ છે? એ સમજાવવાનું ના હોય. અને જયારે કાકા અનેક પત્નીઓ ધરાવતા હોય ત્યારે?
    *આમેય દિલ્હીની ગાદી નાનાશ્રીએ ફક્ત પૃથ્વીરાજ ને આપી દીધેલી એટલે રાજા જયચંદના મનમાં એનું દુખ તો હતુજ. એમાં પાછું બળવાખોર દીકરીએ પૃથ્વીરાજના પ્રેમમાં પડી બળતામાં ઘી હોમ્યું હતું. અને પૃથ્વીરાજે પણ જયચંદને નીચાજોણું કરાવવા આ ભત્રીજીને સમજાવવાને બદલે એના પ્રેમનો સ્વીકાર કરી વધારે ઘી હોમ્યું. રાજા જયચંદે સંયુક્તાનો સ્વયંવર યોજ્યો હતો. સ્વાભાવિક છે એમાં કાકાશ્રી એવા પૃથ્વીરાજને આમંત્રણ દીકરીના પતિના ઉમેદવાર તરીકે ના પણ હોય. આમેય મનદુઃખ હોય એટલે પણ આમંત્રણ બીજા સ્પેશીયલ ગેસ્ટ તરીકે ના પણ હોય. અને વધારામાં પૃથ્વીરાજની અવહેલના કરવા એનું પુતળું બનાવી દરવાજા પાસે ઉભું રાખેલું. અગાઉથી ઘડી રાખેલી યોજના મુજબ પૃથ્વીરાજ પુતળા પાછળ સંતાઈ રહેલા ને સયુંકતા પણ યોજના મુજબ  સભામાં આવી ને વરમાળા હાથમાં લઇ સીધી પૃથ્વીરાજના પુતળાને પહેરાવી દે છે, ને સંતાઈ રહેલા પૃથ્વીરાજ સંયુક્તાને લઇ ઘોડાપર સવાર થઇ ભાગી જાય છે. આ હતી કાકાભત્રીજીની અમર એવી પ્રેમકથા.
બસ પછીતો પૃથ્વીરાજ સંયુક્તા સાથે રંગરાગ માં ડૂબી જાય છે. કોઈ કશું આ સમર્થ રાજાને કહી શકતું નથી. ઉલટાનું ચંદ બરદાઈ જેવા બારોટ મિત્ર અને રાજકવિએ સાચી સલાહ આપવાને બદલે આ વારતાને અનુરૂપ કવિતાઓ બનાવી આને અમર પ્રેમકહાનીનું સ્વરૂપ આપી દીધું. જયચંદ રાજાને ભાંડી ને વગોવી નાખ્યો. હજુ આજે પણ કોઈ દગાખોરને જયચંદનું નામ આપી દેતા વાર લગતી નથી. દગો અને જયચંદ એકબીજાના પર્યાય બનાવી દીધા છે. કાકાને ભત્રીજીના પ્રેમનો એક સમર્થ રાજા સામે  વિરોધ કરવાની સજા જયચંદ હજુ આજે પણ ભોગવી રહ્યા છે.
*અફઘાન સુલતાન મહમદ ઘોરીએ નાનામોટા ગોરિલા યુદ્ધ જેવા સત્તર છમકલા કરેલા. અને દરેક વખતે ફાવતા નહિ ભાગી ગયેલો. કોઈ મોટું યુદ્ધ લડેલું નહિ. મોટું વ્યવસ્થિત યુદ્ધ કર્યું ઈ.સ.૧૧૯૧ માં હાલના હરિયાણામાં આવેલ થાનેસરની પાસે તરૌરીમાં. આ યુદ્ધમાં પૃથ્વીરાજે ઘોરીને હરાવ્યોને માફી આપી છોડી મુક્યો. આમ પૃથ્વીરાજે એક જ વખત માફી આપીને ઘોરીને છોડી મુકેલો સત્તર વખત નહિ.  એક વરસ પછી પૂર્ણ તૈયારી સાથે ઈ.સ.૧૧૯૨ માં ફરીથી ઘોરી ચડી આવ્યો ને લાહોર પહોચી પૃથ્વીરાજને શરણે આવી ઇસ્લામ સ્વીકારવા કહેણ મોકલ્યું. સ્વાભાવિક છે પૃથ્વીરાજ સ્વીકારે નહિ. અને એકવાર જેને હરાવ્યો હોય તેની આવી અઘટિત માંગણી પૃથ્વીરાજ જેવો યુદ્ધમાં કાબેલ રાજા કઈ રીતે માને? “ફીરીસ્થા” ના જણાવ્યા મુજબ ઘોરી ૧,૨૦,૦૦૦ ઘોડેસવારોની ફોજ લઇ આવેલો. જયારે પૃથ્વીરાજે આશરે ૧૫૦ જેટલા નાનામોટા રાજાઓનો સાથ લઇ ૩૦૦0 હાથીને ૩ લાખ ઘોડેસવારોની સેના ઉભી કરેલી. કદાચ સંખ્યાની બાબતે જરા વધારે લખાયું હશે, પણ ઘોરી કરતા ઘણી મોટી સેના પૃથ્વીરાજ પાસે હતી. આ યુદ્ધમાં રાજા જયચંદ શી ભૂમિકા હતી તે શંકાસ્પદ છે. જયચંદે કદાચ ઘોરીને મદદ કરી પણ હશે. અથવા કવિઓએ બંને રાજાઓ વચ્ચે ચાલી રહેલા વેરના સંદર્ભ માં આવી વાતો ઘડી કાઢી હોઈ શકે. ઇતિહાસ ગવાહ છે કે આ કવિઓએ રાજપૂત રાજાઓને ચડાવી મારી, ખોટા ગુણગાન ગાઈ અંદરો અંદર લડાવી મારવાની ભૂંડી ભૂમિકા ભજવેલી હતી.
*ઘોરીએ ચાર બાજુ થી રાજપૂત સેના પર હુમલો કરેલો ને એની સેનાનો બહુ કાબેલ પાંચમો  ભાગ રીજર્વ રાખેલો. પછી ઓચિંતો પોતે એ રીજર્વ ભાગ ને દોરીને જાતે રાજપૂત સેનાની વચ્ચે દોરી ગયેલો. રાજપૂત સેના કન્ફ્યુજ થઇ ગઇ ને પૃથ્વીરાજ હાર્યો અને પકડાઈ ગયો. એની આંખો ગરમ તપાવેલા સળિયાથી ફોડી નાખવામાં આવી. પૃથ્વીરાજના દરબારી રાજકવિ અને સલાહકાર અને ખાસ મિત્ર એવા ચંદ બારોટે પૃથ્વીરાજ રાસો નામની કવિતા રચેલી જે એના પુત્રે પૂરી કરેલી. એમાં જણાવ્યા પ્રમાણે કેદ થયેલા અંધ પૃથ્વીરાજની બાણ વિદ્યાની કસોટી કરવાનું ઠરાવેલું. ત્યારે ચંદ બારોટ એક દુહો ગાય છે ”ચાર બાંસ ચૌવીસ ગજ અંગુલ અષ્ટ પ્રમાણ, તા ઉપર સુલતાન હૈ મત ચુકે ચૌહાણ”. પૃથ્વીરાજે અનુમાન લગાવ્યુંને બાણથી સુલતાનને વીંધી નાખ્યોને ચંદ બારોટ તથા પૃથ્વીરાજ એકબીજા ને મારી શહીદ થઇ ગયા. જોકે આ વાતનું કોઈ ચોક્કસ ઐતિહાસિક પ્રમાણ મળતું નથી, કારણ પૃથ્વીરાજ માર્યા પછી ઘણા વર્ષો બાદ ઘોરીનો દેહાંત થયેલો તેવું ઐતિહાસિક રીતે જાણવા મળે છે.
*હાલ પણ અફઘાનિસ્તાનમાં ઘોરીની કબર પાસે પૃથ્વીરાજ જમીનમાં પોઢેલા છે. ઘોરીની કબરની મુલાકાતે આવેલા અફઘાન લોકો એના પર પગ પછાડી, કુદી કે પથ્થર નાખી ને અપમાન કરવાનું ચુકતા નથી. અહી વ્યવસ્થા જ એવી કરેલી છે કે ઊંચા ભાગ પરથી પૃથ્વીરાજની કબર ઉપર ભૂસકો મારીને જ આગળ વધવું પડે. આ હતો એક બહાદુર પણ નૈતિક રીતે ભાન ભૂલેલા રાજાનો કરુણ અંજામ. નાની ઉમરમાં મળેલું વિશાલ રાજ્ય અને અનેક યુદ્ધોમાં મળેલા વિજયની વિશાલ સફળતાના નશામાં પણ કદાચ ભાન ભૂલાયું હોય.