Category Archives: 1

અયપ્પા(શબરીમાલા)

અયપ્પા(શબરીમાલા)

ભૂતકાળમાં કોઈ વીર પુરુષ થયો હોય અને પ્રજાના રક્ષણ માટે જીવના જોખમે કામ કર્યા હોય તેને પછી લોકો ભગવાન માની પૂજા કરવા માંડે. દા.ત. મહૂડીમાં ઘંટાકર્ણ વીરનું મંદિર છે. જૈનો ત્યાં વધુ જતા હોય છે. ઘંટાકર્ણ એટલે કાનમાં ઘંટ આકારના કુંડળ પહેરતાં. એ વિજાપુર તાલુકાની આસપાસના જંગલોમાં રહેતા જંગલવાસી હતાં એટલે હાથમાં તીરકામઠું હોય. મૃત્યુ પછી એમનો આત્મા ત્યાં જ વિચરતો હશે અને લોકો ડરતાં હશે. જૈન મહારાજ બુદ્ધિસાગરજીએ એમની સાધના કરી મહૂડીમાં બેસાડી દીધા એવી વારતા રે વારતા છે.

એવું આ આપણા અયપ્પાનું છે. કોઈ રાજાને એક બાળક જંગલમાંથી મળેલું એ મોટો થઈને વીર પુરુષ બન્યો ને ઘંટાકર્ણની જેમ કાનમાં નહિ પણ ગળામાં ઘંટની માળા બનાવી પહેરતાે અને તીર કામઠું કોમન છે. લોકોને ચોર લુંટારાથી બચાવતો. વાવર નામના મુસલમાન લુટારાને પણ પાઠ ભણાવેલો પછી તો એ વાવર એમનો મદદગાર જ બની જઈ પીર બની ગયો તો અયપ્પાની પૂજા ત્યાંના અમુક મુસલમાનો પણ કરે છે. કેરલમાં વાઘ વધારે હશે એટલે વીર પુરુષોને મહિમાન્વિત કરવા વાઘ પર બેસાડવા જરૂરી છે, તો શ્રીલંકામાં હાથી વધારે હશે તો ત્યાં હાથી પર સવારી કરાવવી પડે.

ઘણા લોકો અયપ્પાને બુદ્ધનો અવતાર પણ માને છે. મતલબ બહુ જૂના ભગવાન નથી. બુદ્ધ પછી થયેલા છે. વાવરમિયા મિત્ર બનેલા એટલે આમ પણ બહુ જૂના ભગવાન નથી લાગતા.

હવે બહુ વરસ પછી લોકો એમને ભગવાન બનાવે એટલે એમના જનમ માટે જાતજાતના મીથ જોડવા પડે. પુરાણો સાથે ગઠબંધન કરવું પડે. વાર્તાઓ બનાવવી પડે.

કાર્તિકેય શિવપાર્વતીના પુત્ર મુરુગનસ્વામી છે. અયપ્પા કાર્તિકેય નથી. એ શિવપાર્વતીના પુત્ર નથી. અયપ્પા હરિહરા છે હરિ અને હરના પુત્ર છે. શિવ અને વિષ્ણુના પુત્ર છે. વિષ્ણુએ મોહીની રૂપ લીધેલું એ મોહીની અને શિવના પુત્ર છે. બ્રહ્મચારી છે એટલે એમના બ્રહ્મચર્યને સાચવવાની જવાબદારી એમની ખૂદની નહિ પણ એજ યુજુઅલ સ્ત્રીઓની છે. એટલે પિરીયડમાં આવતી સ્ત્રીઓથી જવાય નહિ. સબરીમાલાનું એમનું મંદિર જરા વધારે ફેમસ છે. ભૂતકાળમાં અયપ્પાએ બહુ લોકોની મદદ કરીને બચાવેલા છે એવી વાત છે માટે એમનો આભાર માનવો જોઈએ.

બીજુ હવે સ્ત્રીઓ સેનિટરી પેડ વગેરે પહેરી અસ્વચ્છ હોતી નથી. એટલે મંદિરમાં જવાય. ખેર જે હોય તે કાલ્પનિક વારતાઓની બુદ્ધિવગરની ધાર્મિક માન્યતાઓમાં સમય વ્યય કરવાની આ દેશની મોટાભાગની પ્રજાને આદત છે બાકી સુપ્રીમ કોર્ટને આવા નકામા કામોમાં વચ્ચે પડવાની જરૂર ના પડે.

“મંદિરમાં પ્રવેશ માટે રોકનારા અને મંદિરમાં જવાની હઠ કરનારા બંને સરખા જ અક્કલ વગરના છે.” :- ભૂપેન્દ્રસિંહ રાઓલ.

તું ચૂપ કેમ રહી? કે કેમ રહેતી નથી?

AB6EB263-A587-47B8-B11D-17E199606563.pngતું ચૂપ કેમ રહી? કે કેમ રહેતી નથી?

૧૪ વરસની ઋચિકા હરિયાણાના પોલીસવડા રાઠોડની સામે પડેલી, એને ક્યાં આગળ આવવું હતું કે કેરિયર બનાવવું હતું ? બિચારીને આપઘાત કરવો પડેલો.

એરહોસ્ટેસ ગીતીકા હરિયાણાના મિનીસ્ટર સામે પડેલી એને ય આપઘાત કરવો પડેલો ૬ મહિના પછી એની માને પણ મરવું પડેલું. જેસીકા લાલને તો તરત જ કપાળ વચ્ચે બુલેટ મળેલી.

મોટા માથાની સામે પડો એટલે પોલીસ અને વકીલોની ફોજ તમારી પાછળ પડી જાય કે તમારે મરે છૂટકો. આ લોકોનું હેરસમંટ એટલું બધું હોય કે ના પુછો વાત. સામાજીક, આર્થિક રીતે તમે પાયમાલ થઈ જાઓ.
ઘણા કહેશે સ્ત્રીઓ આગળ વધવા કેરિયર બનાવવા, પૈસા માટે પોતાના શરીર સોપતી હોય છે પછી બબાલ ઊભી કરતી હોય છે. ઓકે નો પ્રોબ્લેમ આ સવાલ જરા જુદી રીતે જોઈએ.

સ્ત્રી શરીર સોપે તો તમે એના કામ કરો, પ્રમોશન આપો, આગળ લઈ જાઓ, પૈસા આપો, સહારો આપો, કેરિયર બનાવી આપો, આ બધું કોણે શરુ કર્યું? એ ભોગવવા મળે તોજ એનું કામ થાય એ કોણે શરું કર્યું? ભોગવીને ય કામ ના કરો પછી અવાજ ઉઠાવે તો એને નાલાયક સમાધાનકારી દેહ વેચનારી કહી પછી ગૂનેગાર એને જ ઠરાવવાની? તમે મૂલ્યો એવા ઊભા જ કેમ કર્યા છે કે સ્ત્રી દેહ સોંપે તોજ એનું કામ થાય છે? એક તો સ્ત્રીને દેહ સોંપ્યા વગર છૂટકો નથી થતો અને સોપીને પકડાય તો પાછી નાલાયક કહેવાની. છેવટે પુરુષ તો ચોખ્ખો ને ચોખ્ખો જ રહેવાનો. એવું કેમ?

એક સ્ત્રીથી એના બોસ લોકોને દેહ સોંપ્યા વગર કેમ આગળ ના અવાય? એવી સિસ્ટમ એવા મૂલ્યો કેમ ઊભા નથી કરતાં કે શારિરીક જાતીય શોષણ કરાવ્યા વગર પણ આગળ આવી શકાય? સ્ત્રી એનું શોષણ ઘણીવાર જાતે થવા દે છે કારણ સમાજ એવું ઈચ્છતો હોય છે. સ્ત્રી શોષણ થયા પછી લાંબો સમય કે આખી જીંદગી ચૂપ રહેતી હોય છે કારણ સમાજ એવું ઈચ્છતો હોય છે, સમાજે મૂલ્યો જ એવાં ઘડ્યાં છે.

ચાલો મી ટુ તો આજે આવ્યું. ૫૦૦૦ વરસ પહેલાં દ્રૌપદીએ ભરી સભામાં મી ટુ કરેલું તો આપણે એને અનાવૃત કરી નાખેલી. દર વખતે કૃષ્ણ નવરો નથી હોતો કે એ અનાવૃતને એનો ઓવરકોટ એઢાડી સાંત્વન આપે.

૫૦૦૦ વરસ થયા ગીતા વાંચી આપણામાં કોઈ ફરક પડ્યો નથી આજે પણ આપણે દુશાસનને સારો કહેવડાવીયે છીએ. દુશાસન વોઝ લીટલ ગુડ બોય એણે ખાલી કપડાં જ ઉતારેલા આપણે તો યોનિમાં લોખંડના સળીયા ભોંકીયે છીયે. દ્રૌપદીતો પુખ્ત પરણેલી હતી આપણે તો ? ફક્ત સુરત પોલિસ વિસ્તારમાં નવ મહિનામાં ૧૨ બાળકીઓની યોનિઓ ચૂંથી કેટલીકને મારી નાખી છે બાકીની મોત માંગે છે. પોલીસ અને સરકાર ઊંઘે જ છે.
આવી અને ગાંમડાની લાખો સ્ત્રીઓને મી ટુ કે ગુગલની ખબર નથી, ફેસબુક કયા ખેતરનું નિંદામણ છે, ખબર નથી. અરે બલાત્કાર થાય એ ગેરકાનૂની કહેવાય તેની પણ સમજ નથી. એમને તો આ નિયતી કહેવાય, ભોગવવું પડે..

૯૭ વકીલોની સેના લઈને ભોગલેઆઝમ અકબર એમના ઉતારેલા નપુસંક જાંઘીયાની પત રાખવા રણે ચડ્યા હોય સેલેબ્રીટી કહેવાય એવી માનૂનીઓ સામે ત્યાં સામાન્ય સ્ત્રીનું શું ગજુ કે ગામના સરપંચ સામે પડે?

તમે મૂલ્યો જ એવા ઊભા કર્યા છે કે શરીર ના સોપે તો ટીવી સિરીયલ બંધ કરી દો. શરીર ના સોપે તો એની કેરિયરની પત્તર ઝીંકી નાખો. નોકરીમાંથી કાઢી મૂકો હેરાનપરેશાન કરી મૂકો તો એ ક્યાં જાય? એ જ્યાં જશે શરીર તો બધા માંગવાના જ છે. ખેતરમાં મજૂરી કરવા જાય? ત્યાં પણ ખેતરના માલિક કપાસમાં ઢસડી જશે.

દર બેમાંથી એક બાળક છોકરો હોય કે છોકરી એનું જાતીય શોષણ થાય છે અને આખી જીંદગી મી ટુ કર્યા વગર ચૂપ રહે છે તો શું એ લોકો મજા લેતા હતા એમની સંમતી હતી એવું માનશો ? સોચો જો બ્રેનમાં ન્યુરોન્સ બચ્યા હોય તો.

ગુગલ મહાશયે જ્યાં જ્યાં મી ટુ બહુ સર્ચ થતું હોય તે જગ્યા, વિસ્તાર, શહેરોને વિજળીના ચમકારે મોતીડા પરોવી નકશો પ્રકાશીત કર્યો છે. અમેરિકા યુરોપ છોડો, એમના ચણાય નો આવે એ મીટુ નામની વિજળીને ચમકારે ભારત ઝળહળી રહ્યું છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા એવો દંભ કરી ક્રાઈમ અગેઈનસ્ટ વીમેનમાં સર નંબર લાવી મીટુ વીજળીના ચમકારે ભારત આખી દુનિયામાં ઝળહળી રહ્યું હોય તે ગર્વ લેવા જેવી બાબત તો નથી જ. :- ભૂપેન્દ્રસિંહ રાઓલ..

માથાફોડ મી ટુ

માથાફોડ મી ટુ

મી ટુ(Me Too) ચળવળે ભલભલાના માથા ફોડી નાખ્યા છે અને માનસિક સંતુલન બગાડી નાખ્યું છે. મી ટુ હેશટેગ સોશિઅલ મીડિયા ઉપર હવે બરોબર વાયરલ થઈ ગઈ છે. Tarana Burke નામની સોશિઅલ એક્ટિવીસ્ટ મહિલાએ ૨૦૦૬માં Me Too વાક્યાંશ પહેલી વખત માય સ્પેસ નામના સોશિઅલ નેટવર્ક ઉપર વાપરેલો. એક ૧૩ વર્ષની નાનકડી છોકરી પર કામૂક હુમલો થયેલો તેની આગળ નિશબ્દ બની ગયેલી આ મહિલાના મુખમાંથી અચાનક સરી પડેલા શબ્દો છે Me Too.. જાતીય સતામણી, ત્રાસ અને હુમલાથી પીડિત મહિલાઓ માટે સહાનુભૂતિ દર્શાવી મહિલા સશક્તિકરણની દિશામાં ભરાયેલું આ પગલું સલામીને પાત્ર છે નિંદાને જરાય નહિ અને મજાક ઉડાડવા માટે તો કદાપી હોઈ ના શકે. જો કે સ્ત્રીને વસ્તુ સમજતા અબૂધો આ બાબતે નીતનવા જોક્સ મૂકી એમની હલકટ નીચ માનસિકતા બતાવતા હોય છે તે અલગ વાત છે અને એમાં જ્યારે સ્ત્રીઓ પણ સામેલ થાય ત્યારે સમગ્ર સ્ત્રી જાત માટે આનાથી મોટી કમનસીબી બીજી કોઈ હોય નહિ. ફક્ત ચામડું જોનારા Tarana Burke ની તસવીરો મૂકીને મજાક ઉડાવે છે, એવા લોકો માટે અષ્ટાવક્ર નામના ઋષિએ રાજા જનકના દરબારમાં ભયંકર કટાક્ષ મારેલો.

૨૦૧૭મા એલીસા મિલાનો નામની અમેરિકન અભિનેત્રી અને ગાયિકાએ આ હેશટેગને વધુ પ્રચલિત કરી. મીરામેક્સ નામની જાયન્ટ કંપનીના માલિક અને અમેરિકન ફિલ્મ નિર્માતા હાર્વે વેઇનસ્ટીન ઉપર એણે જાતીય સતામણીના આરોપ મૂકી ૧૫મી ઓક્ટોબરની સાંજે એણે ટ્વીટર પર Me Too લખી એક ટહુકો મુકેલો. રાત પડતા સુધીમાં ૨૦૦,૦૦૦ વખત અને બીજા દિવસમાં કુલ ૫૦૦,૦૦૦ વખત આ વાક્યાંશ લખાઈ ચૂકેલો, તો બીજા ૨૪ કલાકમાં ફેસબુક ઉપર આ હેશટેગ ચાલી લાખ લોકોએ એક કરોડ કરતા વધુ પોસ્ટમાં વાપરેલ. આ છે સોશિઅલ મીડિયાનો પ્રભાવ.

ધીમે ધીમે ચર્ચ, ફાયનાન્સ, પોલિટીકસ અને ગવર્નમેન્ટ, સ્પોર્ટ્સ, મેડિસીન, મ્યુસિક, મિલીટરી, પોર્નોગ્રાફી ઉદ્યોગ વગેરે ક્ષેત્રોમાં થતાં સેકસુઅલ હેરસમંટ અને સેકસુઅલ એસોલ્ટ વિષેના કબાટમાં છુપાવેલા હાડપિંજર આ હેશટેગ નીચે બહાર આવવા લાગ્યા. જાતીય સતામણી અને હુમલા વિશેના જુના બીલમાં સુધારો લાવવા અમેરિકાની સંસદમાં એક નવું બીલ પણ મુકાયું.

ભારતમાં પણ હવે આવા હાડપિંજર ધીમે ધીમે બહાર નીકળવા માંડ્યા છે તો પહેલા ઝપટમાં આવે ફિલ્મ ઉદ્યોગ પછી મીડિયા જગત. તનુશ્રી દત્તાએ આઠ વર્ષ પહેલા નાના ફાડેકર પર આક્ષેપ મુકેલો પણ નાના તે સમયના ફિલ્મ ઉદ્યોગના એક એલ્ફા મેલ હતા. એમના વિરુદ્ધ બોલવાની હિંમત કોની ચાલે? સાથે સાથે રાજકીય પાર્ટીનું સમર્થન ધરાવતા હતા. તનુશ્રીની કાર ઉપર હુમલો પણ કરવામાં આવેલો.

ટીપીકલ ભારતીય માનસિકતા મુજબ પહેલી શંકા પીડિત ઉપર કરવાની, બીજું હુમલાખોરને ભૂલી જવાનો અને પીડિત પ્રત્યે નફરતભરી દ્રષ્ટિથી જોવાનું, સહાનુભુતિ બહુ દૂરની વાત છે. ત્રીજું લાંબા સમયે પીડિત બોલે તો સવાલ કરવાનો કે અત્યાર સુધી ચૂપ કેમ રહ્યા? ચૂપ રહ્યા મતલબ તમારી સહમતી હતી.

હજારો વર્ષ અતિરેકની ચિંતા કર્યા વગર એટ્રોસિટી કરી છે તો ક્યાંક એટ્રોસિટી નિવારક કાનૂનનો દૂરુપયોગ પણ થવાનો. લાખો વર્ષ અતિરેકની ચિંતા કર્યા વગર સેકસુઅલ હેરસમંટ અને સેકસુઅલ એસોલ્ટ કર્યા છે તો એના નિવારણ અર્થે બનેલા કાનૂનનાં દૂરુપયોગ પણ થવાનો જ છે. લીલા ભેગું સૂકું નાં બળે તો સારું, રોકાય એટલું રોકો.

એક તાજો બનેલો દાખલો આપું. હમણા એક વિડીઓ રાજપથ ક્લબ અમદાવાદનો વાયરલ થયેલો. ક્લબના બધા સભ્યો એલીટ ક્લાસના હોય છે. રાજપથ કલબનો વિકૃત મગજનો સ્વિમિંગ કોચ બારતેર વર્ષની નાની છોકરીઓને બેલ્ટ વડે મારતો હતો. વિડીઓ મજબૂત પુરાવો હતો પણ પેલા કોચને કશું થયું નહિ, એને ખાલી રુખસદ આપી સમગ્ર પ્રકરણ પર પડદો પાડી દેવાયો. એમાં સૌથી મોટો વાંક માબાપનો હતો અને ખાસ તો જે છોકરીઓ ચુપચાપ માર ખાતી હતી તેમના માબાપનો. આવા સમયે પોલીસ પોતે ફરિયાદી બની શકે ભલે માર ખાનારના માબાપ ફરિયાદ કરવા તૈયાર ના હોય. પણ આપણી પોલીસ પાસે એવી કોઈ આશા રખાય નહિ. હવે એની અસર પેલી છોકરીઓ ઉપર શું થવાની? ભવિષ્યમાં આવું કશું પણ બને ચૂપ રહેવાનું કે માબાપ પણ સાથ આપવા તૈયાર નથી. નાનકડી બાળાઓ ક્યા ફરિયાદ કરવા જવાની? હવે બાળાઓના બ્રેનમાં એક સર્વાઈવલ સર્કીટ બની જવાની કે ભવિષ્યમાં આ કોચ કે બીજો કોચ કે કોઈ પણ છાતી પર હાથ ફેરવી લે કે યોની ફાડી નાખે તો પણ ચૂપ રહેવાનું. અને વર્ષો પછી તો બોલવાનું જ નહિ, નહિ તો સમાજ તરત પૂછશે અત્યાર સુધી કેમ ચૂપ રહી? તું જ મજા લેતી હોઈશ.

૨૦૧૩માં લંડનનાં એક ઘરમાંથી ત્રણ સ્ત્રીઓને ૩૦ વર્ષથી ગુલામીની બેડીઓમાં જકડી પારાવાર પીડા આપવામાં આવતી હતી તેમાંથી છોડાવવામાં આવી. બ્રિટીશ પોલીસ દ્વારા આ બનાવને “highly traumatized’ અને “worst case of modern-day slavery” તરીકે ઓળખવામાં આવ્યો. ત્રીસ ત્રીસ વર્ષ તમે કોઈને ત્રાસ આપી સાથે રહેવા કઈ રીતે મજબૂર કરી શકો?

Chris Cantor અને John Price નામના ઓસ્ટ્રેલિયા અને યુકેના મનોવૈજ્ઞાનિકોએ આવા બનાવો ઉપર સરસ સંશોધનાત્મક તારણ કાઢ્યાં છે. આ કોયડાની કૂંચી ‘appeasement’ reaction માં મળી આવે છે. અપીઝમન્ટ એટલે શાંત પાડવું, શમાવવું, (આક્રમણ કરનારને) સવલતો કે લાંચ આપીને મનાવવાનો પ્રયત્ન કરવો, સંતુષ્ટ કરવું. આ વર્તણૂક આપણા genes અને બાયોલોજિમાં સખત રીતે ગૂંથાયેલી છે અને તે સર્વાઈવલ માટે હોય છે. સર્વાઈવલ માટે કાંતો લડો અથવા શરણે થઈ હુમલાખોરને ખુશ કરો. ઘણીવાર તો હુમલાખોર સામે મદદ કરવા આવનારને ભૂલી જઈ ને ઉલટા હુમલાખોરને લાડ લડાવનારા પણ હોય છે, આને ‘Stockholm syndrome’ કહેવામાં આવે છે. એ સમયે મદદકર્તા મિત્રોને નવાઈ સાથે આંચકો પણ લાગતો હોય છે. સ્ટોકહોમની એક બેંકમાં ૧૯૭૩માં ધાડ પાડવામાં આવેલી ત્યારે ધાડપાડુઓ દ્વારા અમુક લોકોને હોસ્ટેજ તરીકે રાખવામાં આવેલા. હોસ્ટેજીસને પોલીસ છોડાવવા આવી ત્યારે એ લોકોએ ઉલટા ધાડપાડુઓનો બચાવ કરી પોલીસને ગાળો દીધેલી.

૧૯૭૪માં એક ટેરરિસ્ટ ગૃપ દ્વારા Patty Hearst નામની એક સ્ત્રી કિડનેપ થયેલી. એને સાવ નાના બે ક્લૉઝિટમાં રખાયેલી. સતત એના પર બળાત્કાર કરવામાં આવેલા. બે મહિના પછી એને સ્નાન કરવાની છૂટ આપવામાં આવેલી. છેવટે એણે ટેરરિસ્ટ ગ્રૂપમાં જોઈન થવાની વિનંતી કરી અને બેંક લુંટમાં ભાગ પણ લીધેલો. એને સજા પણ થઈ હતી પણ પાછળથી માફી આપવામાં આવેલી.

“આપણે ત્યાં મનોવૈજ્ઞાનિકો આવા રસપ્રદ સંશોધન કરવાને બદલે કવિતાઓ કરતા હોય છે”.

આ ત્રાસ આપનારા જેને બાનમાં લીધી હોય તે વ્યક્તિ ઉપર અસહ્ય જુલમ ગુજારી તદ્દન અસહાય અવસ્થામાં ધકેલી દેતા હોય છે. ભયંકર એકાંત અને સૂગ ચડે તેવી સ્થિતિમાં રાખતા હોય છે. ઉપરથી ક્યારે મોત મળે તે નક્કી નહિ. એટલે સર્વાઈવલ મેકનિઝમ તરીકે અપીઝમંટ અને સ્ટોકહોમ સિન્ડ્રોમ નામની વર્તણૂક શરુ થઈ જતી હોય છે. ત્રાસ આપનાર હુમલાખોરને કોઈપણ હિસાબે ખુશ રાખો જેથી જીવ બચી જાય. આ અપીઝમંટ બિહેવ્યરમાં બીજી ત્રણ વર્તણૂક સમાયેલી છે એક તો શાંત પાડવું, પ્રસન્ન કરવું અને સમર્પિત થઈ જવું.

વાનરો અને કપિમાનવમાં(ape) હુમલાખોર જબરા વાનર પાસે માર ખાનાર વાનર પાછાં જતા હોય છે એની સહાનુભૂતિ જીતવા. એટલે સુધી કે હુમલાખોર સામે મદદ કરનારને બાજુ પર રાખી અવગણી હુમલાખોર પાસે જતા હોય છે. માનવો પણ એવું કરતા હોય છે. સમર્પણ કે સમર્પિત થઈ જવું પ્રાણી જગતમાં સામાન્ય છે અને તે સર્વાઈવલ માટે જરૂરી બની જતું હોય છે. તકલીફ એ થાય છે કે આવા જુલમ સહન કરનાર, ત્રાસ સહન કરનાર પછી પોતાની જાતને દોષી માનવા લાગતા હોય છે. સમાજ પણ એમને દોષી માનવા લાગતો હોય છે. દાખલા તરીકે કોઈ સ્ત્રી વારંવાર કોઈ એક પુરુષના બળાત્કારનો ભોગ બની હોય ત્યારે સમાજ તો પહેલા એને જ દોષી માનશે. પેલી સ્ત્રી પણ પોતાને દોષી માનશે કે મેં વારંવાર આવું સહન કેમ કર્યું? પણ જો આપણે અપીઝમંટ રિએક્શનને સમજી શકીશું તો એનો દોષ નહિ દેખાય. સ્ત્રીઓ બળાત્કાર કરવા દેતી હોય છે કારણ એમને જીવનું જોખમ લાગતું હોય કે ભયંકર શારીરિક પીડા મળવાની શક્યતા હોય. અપહરણકર્તાને સેક્સ કરવા દેવામાં જીવનું જોખમ ઓછું થઈ જતું હોય છે.

ભારતમાં દર બેમાંથી એક બાળક જાતીય સતામણીનો અને હુમલાનો ભોગ બને છે પણ આખી જીંદગી છુપાવે છે એટલે શું આપણે એની સંમતિ માની લઈશું? સ્ત્રીઓ એમના પર થયેલા જાતીય અત્યાચાર લાંબો સમય છુપાવે છે કારણ સમાજ પોતે જ એવું ઈચ્છતો હોય છે. અત્યારે જ જુઓને અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર સ્ત્રીઓની કેવી મજાક ઉડાવાય છે?

સેક્સ વર્કર એની જોબના ભાગ રૂપે કપડા ઉતારે એટલે એ જોબ પર ના હોય ત્યારે તમને એના કપડાં ઉતારવાનું લાયસન્સ નથી મળી જતું. આ ભેદ આપણા લોકોના દિમાગમાં ઉતારવો મૂશ્કેલ છે.

લખનાર: ભૂપેન્દ્રસિંહ રાઓલ, સ્ક્રેન્ટન, પેન્સીલવેનિયા…

 

 

વાહનયોગ

વાહનયોગ

૭૫૦ રૂપિયાની એટલાસ સાયકલ મારો પહેલો વાહન યોગ હતો. મારી કુંડળીમાં વાહનયોગ છે જ નહિ એવું જ્યોતિષીઓ કહેતા. પિતાશ્રી એમના મિત્રોમાં કોઈ જ્યોતિષ જાણતું હોય એમને કુંડળીઓ બતાવે રાખતા. હું નાનપણમાં બિનજરૂરી આવું માનતો પણ સમજ આવ્યા પછી હસવામાં કાઢી નાખતો.

પિતાશ્રી કદી સાયકલ શીખવા જવા દેતા નહિ. એમને ડર હતો કે સાયકલ શીખી આ છોકરાઓ અકસ્માત કરી હાથપગ તોડશે. એટલે હું નાનપણમાં સાયકલ પણ શીખેલો નહિ. એકવાર પ્રયત્ન કરેલો. ભાડાની સાયકલ છાનામાના લઈ આમારા બચપણના મિત્ર ભલારામ સાથે ઠીકરીયા મેદાનમાં સાયકલ શીખવા ગયેલો. ભલીયો પરપીડન વૃત્તિ ધરાવતો. કોઈને તકલીફ થાય તો એમાંથી આનંદ મેળવે. મને એક ઢાળ ઉપર લઇ જઈ સાયકલ પર બેસાડી કહે હવે રગડાવી માર સાયકલ આવડી જશે. મને સમજ ના પડી કે આનો ઈરાદો ખરાબ છે. મેં કદી સાયકલ ચલાવેલી જ નહિ તો પણ ઢાળ ઉપર સાયકલ પર બેસાડી એણે ધક્કો મારી દીધો. રમરમાટ થોડે દૂર જઈ બંદા પડ્યા અને ઢીંચણ છોલાઈ ગયા. પણ એમાંથી ભલીયાએ બહુ હસીને પુષ્કળ આનંદ મેળવ્યો. ત્યાર પછી મેં કદી સાયકલ શીખવાનો પ્રયત્ન કર્યો નહિ. મનમાં ડર ઘૂસી ગયેલો.

બહુ મોટી ઉંમરે સાયકલ શીખ્યો તે પણ પહેલેથી એના પર બેસીને ચલાવતો.. મને બીજા મિત્રોની જેમ એક પેડલ પર પગ મૂકી સાયકલ થોડી દોડાવી પછી એના પર છલાંગ મારી બેસતા કદી આવડ્યું નથી. વડોદરે ભણવા ગયો ત્યારે ભાડાની સાયકલો લઇ હું અને મિત્ર કલ્યાણસિંહ યાદવ આચાર્ય રજનીશના પ્રવચનો સ્વરૂપમ રજનીશ ધ્યાન કેન્દ્રમાં ચાલતા ત્યાં સાંભળવા જતાં. રજનીશ તો પુનામાં રહેતા પણ એમની નેવું મિનિટની કેસેટ આ લોકો મુકતા તે સાંભળવા મળતું.

માણસા રહેવા આવ્યો ત્યારે જ્યોતિષીઓની ના છતાં પહેલો વાહનયોગ ૭૫૦ રૂપિયાની સાયકલ ખરીદવાથી બન્યો. મોટાભાગના જ્યોતિષીઓ મારી કુંડળી જોઈ માથું ધુણાવતા. એમને એમાં કોઈ શક્કરવાર લાગતો નહિ. પહેલે ધનનો સૂર્ય-ચન્દ્ર, બીજે બુધ, ચોથે મંગળ, છઠ્ઠે કેતુ, દસમે ગુરુ, બારમે શુક્ર-રાહુ-શની, માંગલિક કુંડળી જોઈ જ્યોતિષીઓ ચકરાઈ જતાં. સાવ બોગસ કોઈ દરિદ્રની કુંડળી લાગતી. કોઈ સારા યોગ એમને દેખાતા નહિ. ભણવામાં લોચાલાપસી હશે, નોકરી ધંધો પણ એવો જ હશે. ધનયોગ દેખાતો નહિ. કોઈ રાજયોગ કે સારો યોગ જણાતો નહિ. વાહનયોગ પણ જણાતો નહિ, ટાંટિયાતોડ યોગ જ જણાતો. જોકે રોજ દસ કિલોમીટર દોડીને, હજાર વખત દોરડા કુદીને, ૧૦૦ બેઠકો કરી ટાંટિયાતોડ કરતો.

જ્યોતિષીઓની આગાહી ખોટી પડવાની શરુ થઈ હતી હવે ઘરમાં સાયકલ આવી ગઈ હતી. હહાહાહાહા એવામાં અમે ધંધા માટે ટાટા કંપનીની મીની ટ્રક ટાટા-૪૦૭ લીધી. મને સાયકલ સિવાય કોઈ વાહન ચલાવતા આવડતું નહિ. ડ્રાઈવરોની દાદાગીરીને લીધે મારા ભાગીદારે કહ્યું કે હવે તમે ટ્રક ચલાવતા શીખી જાવ. એટલે હું કલોલમાં એક ડ્રાઈવિંગ ક્લાસમાં ગયો. ત્યાં તુમાખીવાળા કોચ સાહેબે જુના જમાનાની ફિયાટ પર શીખવવાનું ચાલુ કર્યું. પહેલા દિવસે પ્રથમગ્રાસે મક્ષિકા જેવું કોઈ બાઈક જોડે ટકરાઈ ગયા. કોચ મારી પર ભડક્યો કહે તમને બાપજીન્દગીમાં કાર ચલાવતા નહિ આવડે. ખરેખર પહેલા દિવસે એણે ધ્યાન રાખવાનું હોય ઉલટાનો મને દોષ દેવા માંડ્યો. પછી કલોલ શીખવા જવાનું પણ બંધ કરેલું.

પણ અમારી ૪૦૭ના ડ્રાઈવરોમાં એક મહારાજ ડ્રાઈવર સારો હતો મને પરાણે એની બાજુમાં બેસાડી શીખવે. એકવાર અમે રાત્રે કેળા ભરવા ગાંધીનગર ગયેલા. મહારાજ તો કેળાં ભરાય ત્યાં સુધી ઘોરવા માટે કેબીન પર ચડી ગયો. હું નીચે બેસી રહેલો. કેળા ભરાઈ ગયા પણ મહારાજ જલદી જાગે તેમ નહોતો. કેળાંનાં વેપારી દેવીપુજક ભાઈ કહે ચાલો હવે જઈએ. મેં તો ટ્રક ચાલું કરી દીધી અને હંકારવાનું ચાલું કરી દીધું. થોડી વારે મહારાજને ટ્રક હાલવાથી જાગવાનું થયું તે એકદમ ગભરાઈને ચાલું ટ્રકે નીચે આવીને બેસી ગયો. શરૂમાં ગભરાઈ ગયેલો પણ પછી કહે ચાલવા દો હું બાજુમાં બેઠો છું. બસ પછી તો હું ય ડ્રાઈવર બની ગયો આખરે. મહારાજને બસ ચલાવવાની નોકરી મળી ગઈ. બંદા પોતે હવે ચલાવતા. એવામાં ગાંધીનગર ડેરીમાં ટેન્ડર પાસ થઈ ગયેલું. નાના ગામડાઓમાંથી નાની મંડળીઓ જે ખેડૂતો પાસેથી દૂધ ભેગું કરી મોટી ડેરીમાં પહોચાડે ત્યાંથી દૂધનાં કેન જે ૪૦ લીટરના હોય તે ગાંધીનગર ડેરીમાં પહોચાડવાનું શરુ થયું.

ડ્રાઈવરો છુટા થતાં હવે ટ્રક હું જ ચલાવતો હતો. ચારેક મહિના થઈ ગયેલાં પણ મારી પાસે લાયસન્સ નહોતું. ભાગીદાર આમારા ભઈલા ઘનુભા કહે યાર લાયસન્સ લઇ લો કશું થશે તો વીમો નહિ પાકે. ૪૦૭ લઈને જ ટેસ્ટ આપવા ગયેલો. ટેસ્ટ પત્યા પછી આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર કહે કેટલા મહિનાથી ચલાવો છો? સાચું કહેજો. મેં હસતા હસતા કહ્યું ત્રણેક થયા હશે. મને કહે તમારી બેધડક સ્ટાઈલથી ખબર પડી ગયેલી કે જુના ડ્રાઈવર લાગો છો, પણ આવું નો કરાય ગેરકાયદેસર કહેવાય.

ડેરીમાં એકવાર કશું કામ હશે તે સ્ટોર પર બેસતા ક્લાર્ક કહે મારું સ્કુટર લઇ જાઓ. મેં કહ્યું મને સ્કુટર નથી આવડતું. તો હસવા માંડ્યા. ટ્રક ચલાવો છો ને સ્કુટર નથી આવડતું? મેં કહ્યું ખરેખર નથી આવડતું. હું સાયકલ પરથી સીધું ચારચક્રી શીખેલો. કોઈ સાયકલ શીખે પછી લુના જેવા મોપેડ શીખે પછી સ્કુટર શીખે પછી બાઈક શીખે પછી કાર ચલાવે પછી ટ્રક ચલાવે. મારે ઊંધું ચાલતું હતું. સાયકલ પછી ટ્રક, પછી સન્ની જેવું મોપેડ પછી બાઈક ચલાવતો થયેલો અને પછી ક્યારેક સ્કુટર ચલાવેલું. બાઈકની કોઈ પ્રેક્ટીશ હતી નહિ અને બજાજ કાવાસાકી ખરીદી પોલો ગ્રાઉન્ડમાં ચાર ચક્કર મારી સીધો ઘેર. બાઈક પર બરોડાથી છેક માણસા સુધી ચક્કર મારેલા.

ખેર પાછા આગાહી પર આવીએ. મારા શ્વસુર અમેરીકા સેટ થયા એટલે મને ખબર હતી કે વહેલી મોડી ફાઈલ મુકાશે. એક મિત્ર જેવા જ્યોતિષને મારો હાથ અને જન્માક્ષર બતાવી પૂછ્યું કે અમેરિકા જવાશે કે નહિ? મને કહે કોઈ કાળે નહિ જવાય, નસીબમાં કોઈ રેખા જ નથી. હાથમાં કહેવાને બદલે નસીબમાં કહી બેઠેલા. મેં કહ્યું રેખા આપણને બહુ ગમતી નથી બચ્ચનને ગમતી હશે, આપણને મોટા ગાલવાળી માંજરી આંખોવાળી રાખી ગમે છે, પણ દાઢી વગરનો સરદારજી(ગુલઝાર સાહેબ) એને બથાવી ગયો છે. મેં કહ્યું યાર સસરા અમેરિકા છે ફાઈલ મુકવાના જ છે. તો કહે ગમે તે હોય લોચા પડશે નહિ જવાય, કોઈ વિદેશ યોગ જ નથી.

ત્રીજીવારની પ્રેગનન્સી વખતે માણસામાં ખેતી કરતો હતો. વાહનમાં ઘરમાં ખાલી સાયકલ જ હતી. માઢમાં બે મિત્રોના ઘેર મહેન્દ્ર-જિપ હતી. પણ જે મોડી રાત્રે વેણ ઉપડી તે સમયે એકેય જિપ હાજર નહિ. સ્કુટર ધરાવતા મિત્રો પણ ગેરહાજર. ગામમાં રીક્ષાઓ પણ બહુ ઓછી, તે પણ અર્ધીરાત્રે કોણ જાગે? શ્રીમતીને સાયકલ પર બેસાડી સાયકલ મારી મૂકી પરમાર સાહેબના દવાખાને. બે દીકરા તો હતા, ત્રીજી દીકરી આવે તો સારું એવી અદમ્ય આશા પર પાણી ફેરવતા ડૉ.નૌતમબા જાડેજા આવી ને કહે દીકરો છે.

ગાંધીનગરમાં ક્યારેક ટાટા-૪૦૭માં શ્રીમતીને બેસાડી શાકભાજી લેવા જતો તો ક્યારેક પેલી એટલાસ સાયકલ પર બેસાડીને જતો. કાયમ શાક લેવા જઈએ એટલે પરિચિત થઈ ગયેલા શાકવાળા ભાઈઓ બહેનોને નવાઈ લાગતી.

જે જે યોગ નહોતા નસીબમાં તે અનાયાસે કહો કે મહેનતને લીધે કહો પ્રાપ્ત થયા. વિદેશયોગ પણ બન્યો. પહેલી કાર જૂની વપરાયેલી નિશાન હતી. પછી વાહનયોગની કોઈ નવાઈ રહી નહિ. પણ પેલી એટલાસ પાછળ કે કાવાસાકી બજાજ પાછળ વહાલસોઈને બેસાડી શાક લેવા જતાં, તે પાછળ ચીપકીને બેઠી હોય, કમરમાં ગલીપચી કરતી હોય, એની ભીની માદક મહેંક જિંદગીને તરબતર કરતી હોય એની જે મજા હતી તે આજની મોંઘી કારમાં પણ આવે નહિ.

૧૧મુ સાહિત્ય સંમેલન

મહેંક માટીની માણવા અમે સૌ નીકળ્યાં,

મૂળ ઉખડ્યાની પીડા ઓછી કરવા નીકળ્યાં.

દર બે વર્ષે ઉત્તર અમેરિકાની ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાનું સાહિત્ય સંમેલન ભરાય છે. લગભગ સપ્ટેમ્બર મહિનામાં ભરાતું હોય છે. તે ગઈકાલે સમાપ્ત થયું, હવે ફરી બે વર્ષે ભરાશે તેની રાહ જોવાનું અત્યારથી ચાલું થઈ ગયું. અમેરિકાના વ્યસ્ત જીવનમાં સમરસિયા મિત્રોને મળવાનો સાથે બેત્રણ દિવસ રહેવાનો એકમાત્ર આ પ્રસંગ બે વર્ષે આવે છે. ઘણા મિત્રોનું સૂચન હોય છે કે દરવર્ષે આ સંમેલન ભરાવું જોઈએ.

મેં તો મહિના અગાઉથી પહેલી ઈ-ટપાલે જ મારો આગવો કક્ષ દૂરભાષ સેવા દ્વારા નોંધાવી દીધેલો. સ્થાનિક સર્જકોની અભિવ્યક્તિનો કાર્યક્રમ ત્રીજા સમાપન દિવસે હોય છે તેનું સંચાલન શ્રી અશોક વિદ્વાંસ દ્વારા થતું હોય છે, એમને મારી વાર્તા પણ ઈ-ટપાલ દ્વારા મોકલી દીધેલી. એક લેખ પણ મોકલેલો. કારણ લેખ લખવામાં આપણી માસ્તરી છે, વાર્તા લખવામાં નહિ અને કવિતા લખવામાં જરાય નહિ. અશોકભાઈનો ઉત્તર આવ્યો કે વાર્તા રાખીએ તેમાં મજા આવશે, પણ સાત/આઠ મિનિટમાં પઠન પૂરું થઈ જાય તો યોગ્ય કહેવાય. મેં એના માટે જરૂરી અભ્યાસ પણ કરી લીધો. જેથી બીજા સાથી મિત્રોનો સમય ખાઈ ના જાઉં.

ઘણીવાર એવું થાય કે જરૂરી સામાન, કપડાં, દાઢીકતરણ માટેના સાધનો બધું લઈએ ત્યાં દંત શુદ્ધિકરણ માટેની કચકડાની દંડી ભૂલી જઈએ અને તે લીધી હોય તો ફીણ ઉપજાવતું દંતમંજન ભૂલી જઈએ. છતાં બધું યાદ કરી કરીને લીધું મારા ચારચક્રી વાહન જિપમાં બેસી હંકારવાનું ચાલું કરી દીધું બે માઈલ જઈને યાદ આવ્યું કે જે વાર્તા મારે પઠન કરવાની હતી તે મુદ્રણ કરેલા પાના જ ઘેર ભૂલી ગયો છું. હહાહાહા મિત્રોને મળવાની તાલાવેલી એવી હતી કે ઉતાવળા સો બહાવરા ન્યાયે હું જ ભૂલકણો સાબિત થયો. વાહન પાછું લીધું ઘેર ફટાફટ વાર્તાના કાગળો લઈને પાછી હંકારી મૂકી નવા જર્સી તરફ. અરે ભાઈ હું પેન્સીલવેનિયાના સ્ક્રેન્ટન શહેરમાં રહું છું તે નવા જર્સી તરફ જ હંકારું ને? ગામ પહેલો પહોચી જઈને નોંધાવેલા કક્ષની કૂંચી લઈ અકાદમીના મેજ પર જઈ મારું આગમન પણ નોંધાવી દીધું જે જરૂરી હોય છે.

આ કક્ષને શયનકક્ષ પણ કહેવાય એમાં શરમાવાનું નહિ. જોકે શયન એકલા જ કરવાનું હોય મોટાભાગે અને મોટાભાગનાને. છતાંય મને એક કક્ષમા બે પલંગ આપેલા. તે જોઈ હસવું પણ આવેલું. બારીના પડદા ખોલી નીચે જોયું તો અંગ્રેજી ઉભા ઘાટનો ટોપો પહેરેલ એક ભાઈ જોયા. એમની મોટી પૈડાવાલી સંદૂક ઉતારી સવળા ફર્યા ને હૈયામાં હરખના વાવાઝોડા ઉમટ્યા. અરે આતો મારા ભઈ અજય પંચાલ. આવો ટોપો તો એ એકલા જ પહેરે છે આમારા સ્નેહીઓમાં. થયું હવે મજા આવશે સરસ સાથ રહેશે. મેં તરત દુર્ભાષ યંત્ર કાઢી ઘંટડી મારી, એમણે એમનું ગતિશીલ હળવું દુર્ભાષ યંત્ર કાઢ્યું ઉત્તર આપવા. મારો અવાજ સાંભળી તે પણ ખુશ ખુશાલ.

હાથપગ ધોઈ જરા તાજામાજા થઈ પરિચિત મિત્રો સાથે ગામગોઠડી ચાલું થઈ ગઈ. નાનોભાઈ દિલીપ ભટ્ટ એની ચાકોફીની મોટી મોટી સ્ટીલની નળવાલી ટાંકીઓ લઈ ચા કોફીની સેવા માટે સહકુટુંબ હાજર હતો તે જોઈ હરખના વાવાઝોડા સાથે સુનામી આવવા માંડ્યા.

અકાદમીના પ્રમુખશ્રી રામભાઈ મળ્યા. સાહિત્યના રસિયા બેપાંચ મિત્રો વડે શરુ થયેલી ગોઠડી આજે ગામની ભાગોળે ઉભેલા મસમોટા વડલા જેવી સાહિત્ય અકાદમીમાં પરિવર્તન પામી હોય તો એનું શ્રેય શ્રી.રામભાઈ ગઢવીને જાય છે. બધામાં એ વહીવટીય ક્ષમતા હોતી નથી ભલે બીજી બાબતોમાં ગમે તેટલા હોશિયાર હોય. રામભાઈની સાહિત્ય સાથે સાહીત્યકારોની સમજ, સાથે વહીવટીય ક્ષમતા બધું ભેગું થાય ત્યારે ઉત્તર અમેરિકાની ગુજરાતી સાહિત્ય અકાદમી જેવી સંસ્થા રચાય છે, વિકસે છે, વૃદ્ધિ પામે છે અને અમારા જેવા મૂળ ઉખડ્યાની પીડા ભોગવતા મિત્રો ભેગા થઈ એકબીજાને રાહતનો મલમ લગાવતા હોય છે. દેશમાંથી આવેલા મહેમાનો કલાકારો, લેખકો, કવિઓ એમની સાથે માટીની મહેંક લેતા આવતા હોય છે તે માણી ફરી પાછા તાજામાજા થઈ જતાં હોઈએ છીએ. શ્રી. રામભાઈ સાથે દર્શન ઝાલા, આશિષ દેસાઈ અને રથિન જેવા સૈનિકોની સરસ ફોજ છે. આશિષ દેસાઈ બહુ સારા ગુપ્ત મિમિક્રી કલાકાર છે. એમની આ કલાની બહુ લોકોને જાણ નથી. તે એક રીતે સારું પણ છે. જોકે અમને એમણે ખૂબ મનોરંજન કરાવેલું તે ભૂલાય તેમ નથી.

ભાષાવિજ્ઞાની બાબુ સુથારને હું ત્રણેક સંમેલનથી જોઉં છું સાંભળું પણ છું પણ આ વખતે ચહેરાચોપડીએ અમને વધુ નજીક આણ્યા છે. એટલે એમને મળવાની ખાસ ઈચ્છા હતી. એમની અને મારી ભેગી પાડેલી છબી ચહેરા ચોપડીમાં મુકતા એક મિત્રે પ્રતિભાવ આપેલો કે તમે ધન્ય થઈ ગયા બાબુભાઈ સાથે છબી પડાવી જોડે બેસવા મળ્યું. મેં જવાબ આપ્યો કે બાબુભાઈ પણ ધન્ય બન્યા છે મારી જોડે બેસી. હહાહાહા.. બાબુભાઈએ દેશમાંથી પધારેલા મહેમાનો શ્રી રમણ સોની, શ્રી મણિલાલ, શ્રી ઈલા આરબ મહેતા, શ્રી સુમન શાહ, શ્રી મુકેશ જોશી વગેરેની બહુ સરસ ઓળખાણ આપી.

રાત્રે ‘શબ્દ સૂરની પાંખે અમે ગીત ગગનનાં ગાશું’ અન્વયે અમર ભટ્ટ, જાહ્નવી, હિમાલીને સાંભળી ખૂબ મજા આવી. સંચાલન મુકેશ જોશીનું હતું. મુકેશ જોશી એકદમ હળવાશથી સંચાલન કરે છે. ત્રાજવે તોળેલું સંચાલન કહી શકાય. રમૂજ પણ માપની, એમનો સમય લે તે પણ માપનો. મને પહેલાના અતિશય વાચાળ, ઘોંઘાટીયા સંચાલકોના સંચાલનનો પણ અનુભવ છે. જાહ્નવી સરસ ગાય છે તો હિમાલીએ આલાપ અને હરકતોમાં રંગ જમાવેલો. અમર ભટ્ટની તો વાત જ નો કરાય.

બીજા દિવસે મુખ્ય મહેમાન શ્રી રમણ સોનીનું ઉદબોધન હતું વિષય હતો ગુજરતી સાહિત્યનો વર્તમાન અને પહેલા યુગનું સ્મરણ. પછી ગુજરાતી કાવ્યસમૃદ્ધિનો સંગીત સભર અનુભવ અમર ભટ્ટે કરાવ્યો. પછી પ્રથમ બેઠક નવલકથા અને નવલકથાકાર વિશેની હતી. જોકે આ બેઠક હું ચુકી ગયો કારણ મારે મિત્ર જય વસાવડાને નવા જર્સીના એડીશનથી લઈ આવવાના હતા. એ કામ મેં જાતે મારા માથે લીધેલું. એનું મુખ્ય કારણ જય એકવાર સંમેલનના સ્થળે આવી જાય પછી અમને મિત્રોને કોઈ એકલા પડવા ના દે, વાત કરવા ના દે. એ દેશમાં તો લોકપ્રિય છે જ અહિ પણ એટલો જ લોકપ્રિય એટલે બધાને એની સાથે વાત કરવી હોય એમાં મારો ચાન્સ ના લાગે. એટલે જયે જ સૂચવેલું કે અહિ આવી જાઓ તો શાંતિથી વાતો થશે. જય સાથે ગરબા કિંગ ચેતન જેઠવા પણ મળ્યો. એ મારો ચાહક હશે તે મને ખબર નહોતી. અગણિત મિત્રો મને ચુપચાપ વાંચે છે. જાહેરમાં કશું બોલતા નથી કે પ્રતિભાવ આપતા નથી. દમ્ભીસ્તાનની પાખંડી માયાજાળમાં અટવાયેલા મૂક ચિત્કાર કરતા લોકોની જીહ્વા હું છું. એ લોકો કશું બોલી શકે તેમ નથી. બોલે તો વીંખાઈ જાય તેમ છે.

ચેતન જબરો ઉત્સાહી ઉર્જાથી ભરેલો. દેશમાંથી આવેલા મહેમાનોમાંથી ભાગ્યે જ જોવા જાય એવા જોવા જેવા મહત્વના સ્થળો એકલો એકલો જોઈ આવ્યો. જયભાઈ જોડે અંગત વાતો કરતા કરતા પાછા સંમેલન સ્થળે આવી ગયા. અમે આવ્યા ત્યારે શ્રી.અપૂર્વ આશર ડિજિટલ ટેકનોલોજી અને પુસ્તકોનું ભવિષ્ય વિષે દ્રશ્ય શ્રાવ્ય માહિતી આપતા હતા. પછી એ જ વિષય પર બાબુભાઈએ મનનીય પ્રવચન આપ્યું.

ચા/કોફી વિરામ સમયે કે ભોજન સમયે જ ખરી મહેફિલ જામતી હોય છે. જયભાઇએ નેહલ ગઢવી અને સુભાષ ભટ્ટની ઓળખાણ કરાવી. નેહલ તો ચહેરા ચોપડીને કારણે મિત્ર હતી પણ ઝેન અને સુફી ફિલોસોફીના જબરા અભ્યાસુ સુભાષભાઈને મળીને અનહદ આનંદ થયો. મને ચુપચાપ વાંચવામાં નેહલ પણ આવી જાય છે. આ નેહલ મંદબુદ્ધિના બાળકોની શાળામાં જોબ કરે છે પણ એ આ બાળકો વિશે ઉલ્લેખ કરે ત્યારે જે ભાવથી મારા છોકરાં શબ્દ વાપરે એટલે ખ્યાલ આવી જાય કે જોબ નામ તો ખાલી દુનિયાને કહેવા બાકી પોતાના પરિવારને સાચવવા જાય છે. સુભાષ ભટ્ટ જેવા ઝેન્સુફીનો સાથ હોય તો આવા બોધિસત્વ ધરાવતા કરુણામય વ્યક્તિત્વનો જનમ થાય.

ત્રીજી બેઠક કવિતા વિશ્વની નવી તારિકાઓ શ્રી જયશ્રી મર્ચન્ટ, શ્રી નંદિતા ઠાકોર, શ્રી દેવિકા ધ્રુવ અને શ્રી રેખા પટેલ વગેરેની હતી. એમના સર્જનનો લહાવો માણ્યો. રેખા પટેલને તો હું વર્ષોથી ઓળખું છું. કવિતાઓ સાથે વાર્તાઓ પણ લખે છે. નંદિતા બહેન ચહેરા ચોપડીમાં હમણાં જોડાયા છે અમારી સાથે.

બાબુભાઈ સાથે સમય મળે ગોષ્ઠી ચાલતી હોય છે. અજય પંચાલ અને હું સતત સાથે જ હોઈએ છીએ. હવે નિકિતા વ્યાસ પણ જોડાઈ ગયા છે. નીકી મારી નાની બહેન જેવી સમજો. રોબર્ટવુડ હોસ્પીટલમાં કામ કરે છે. મારા શ્રીમતી મૃત્યુ સમીપે તે જ હોસ્પીટલમાં હતા ત્યારે નિકિતા સમય મળે તરત આવી જતાં અને મને ભાંગી પડતો અટકાવી રાખતા. મેટાસ્ટેસીસ કેન્સરનો કોઈ ઉપાય નથી. ૫૧ વર્ષની ઉંમરે ૩૫ વર્ષ સાથ આપી એના કરતા જૂની ઓળખાણ છતાં જાનેવાલે ચલે ગયે રુકે નહિ. પણ એવા કપરા સમયમાં નીકીએ જે માનસિક હિંમત અને ટેકો આપેલો તેનું ઋણ કદી ચૂકવાશે નહિ.

રાત્રે નાટ્ય સંધ્યામાં શૈલેષ ત્રિવેદી અને રૂપલ ત્રિવેદીએ ભવાઈ ભજવી તે અદ્ભુત હતું. પછી ગમી તે ગઝલ અમર ભટ્ટ, જાહ્નવી અને હિમાલીને સાંભળ્યા. ત્રીજા દિવસે તો સમાપન હોય એટલે જે મિત્રો ઝડપાય તેમને ઝડપી લેવાના બને એટલું સાનિધ્ય માણી લેવાનું તસવીરો ખેંચી લેવાની યાદગીરી રૂપે. સ્થાનિક સર્જકોનો આજે વારો હતો. કવિતા વાર્તા જે લખ્યું હોય તે પઠન કરવાનું હતું. અહિ સમયની મર્યાદા હોય છે. બધાને સરખો ચાન્સ આપવાનો હોય છે. જોકે આપણે ભારતીયો સમયની બાબતમાં એટલા સભાન હોતા નથી. બીજાનું જે થવું હોય તે થાય પણ મારી કહેવાનું ખંજવાળ પૂરી કરવાની એટલે કરવાની. આ કોઈ મહેફિલ તો હતી નહિ કે તમારી કવિતાઓની પંક્તિઓ વારંવાર દોહારવાની હોય? પાછળ બીજા કાર્યક્રમ પણ બાકી હતા. છતાં ઘણા મિત્રોએ સમય આરામથી આરોગ્યો. મને આવું બધું જોઈ ગુસ્સો આવે પણ મને ગુસ્સો આવે એટલે હું હસવાનું ચાલું કરું છું. એક સર્જકે તો ગુજરાતી સાહિત્ય અકાદમીનું હિન્દી સાહિત્ય અકાદમીમાં પરિવર્તન કરી નાખ્યું. હહાહાહા મને થયું બેફામ સમય આરોગતા મિત્રો મારા ભાણામાં સમય આવવા નહિ દે પણ પછી નસીબજોગે મારો વારો આવ્યો ખરો. ત્યારે મંચ પરથી મને કહેવાનું મન થયેલું કે હિન્દી સાહિત્ય અકાદમીમાં આપ સર્વેનું સ્વાગત છે. પણ પછી થયું જવા દો યાર. શરૂમાં મારી વાર્તાનું શીર્ષક કહેવાનું જ ભૂલી ગયો હતો. મારી વાર્તા પણ મેં ઝડપથી વાંચી નાખી. મારે બીજા મિત્રોનો સમય ખાવો નહોતો. ઊંચું જોવાનો પણ સમય બગાડતો નહોતો એટલો ગુસ્સો આવેલો. હહાહાહાહા .. શ્રોતાઓ વચમાં વચમાં હસતા હતા તે સાંભળતો હતો. મારી વાર્તા બધાને બહુ ગમી. શ્રી રમણ સોની સાહેબ અને મણીભાઈ સાહેબે ખાસ મને પાસે બોલાવીને શાબાશી આપી. મસ્તિષ્કમાં સુખ અર્પતા રસાયણોનો ધોધ છૂટ્યો.

ત્યાર પછી મુકેશ જોશી, અનીલ ચાવડા અને તુષાર શુક્લની કવિતાઓનો દોર ચાલ્યો. અનીલ ચાવડાએ મંચ ગજવી નાખ્યો. તો તુષારભાઈ એમની સૌમ્ય વાણીમાં બધાને રસતરબોળ કરી નાખ્યા. તુષારભાઈએ એક દીકરીની પિતા પ્રત્યેની લાગણી વર્ણવતું કાવ્ય રજુ કરેલું ‘પપ્પા તમારે મુકવા આવવાનું નહિ’ સાંભળી મારી આંખો ભરાઈ આવેલી.

છેલ્લે સુભાષ ભટ્ટ, નેહલ ગઢવી અને જય વસાવડાની પ્રેમ ગોષ્ઠી હતી. સુભાષભાઈએ એમના ઘરનું નામ સરાઈ રાખ્યું છે. સરાઈ એટલે લોજ જેવું લોકો આવે રાત રહીને જતાં રહે. સુભાષભાઈ ૪૦ વખત હિમાલય ગયા છે. એમનો એક પગ હિમાલયમાં અને બીજો પગ ભાવનગર એમની સરાઈમાં હોય છે. એમણે બનારસ વિષે પુસ્તક લખ્યું છે. શહેરનો પણ એક આત્મા હોય છે. એની આગવી સુગંધ હોય છે. સુભાષભાઈ સુફી અને ઝેન ફિલોસોફીના બહુ મોટા જ્ઞાતા છે. અને એ રીતે જ જીવે છે. નેહલ મંદબુદ્ધિના બાળકોની સ્કૂલમાં સેવા આપે છે. એ મંદબુદ્ધિના બાળકો માટે મારા છોકરાં શબ્દો વાપરે છે એટલે સમજાઈ જાય એના આત્માની ઊંચાઈ. સ્વભાવની રીતે જોઈએ તો સુભાષભાઈ અંતરમુખી છે, મારું પણ એવું જ છે. મને મારા પુસ્તકો પાસે હોય તો મહિનાઓ સુધી એકલો પડ્યો રહું. મને યાદ છે હું એકવાર ટ્રેનમાં બેંગ્લોર ગયેલો. સાથે થોડા પુસ્તકો હતા, માસિક અને અઠવાડિક હતા. ૩૬ કલાકે બેંગ્લોર પહોચેલો પણ બાજુવાળા જોડે મેં વાત ભાગ્યેજ કરેલી. હું ટોળાનો માણસ છું નહિ, એટલે હું ટોળા માટે લખતો પણ નથી. હું mass માટે નહિ ખાસ માટે લખું છું.

જય, સુભાષભાઈ અને નેહલે જલસો કરાવી દીધો. સંમેલનનું સમાપન નેહલે એની આગવી રીતે કર્યું. છેલ્લે ભોજન પછી બધાને છુટા પડવાનું હતું. ઘેર જવાની કોઈને ઉતાવળ હોય એવું લાગતું નહોતું. બને એટલી વાતો કરી લેવાઈ હતી. ફોટા પાડી લેવા હતા. મેં અને અજયભાઈએ પણ બને એટલા મિત્રો સાથે ફોટા પાડી લીધા પડાવી લીધા. ભોજન સમયે અનેક મિત્રો મારી પીઠ થાબડી ગયા કે તમારી વાર્તા મજાની હતી. હું જાણતો ના હોઉં એવી ખૂબીઓ એ મિત્રો કહી ગયા ત્યારે મને ખબર પડી કે મેં સારી વાર્તા લખી છે. એટલે હવે થાય છે કે વાર્તાઓ લખી મિત્રો પર ત્રાસ વર્તાવવાનું શરુ કરવું પડશે. છેલ્લે અજય પંચાલ અને હું છુટા પડ્યા ત્યારે મનમાં એક પ્રકારની ઉદાસી છવાઈ ગયેલી. ત્રણ દિવસ અમે હસાહસ જ કરેલું. મસ્તિષ્કમાં સુખ અર્પતા રસાયણો હવે સામાન્ય થતાં જતાં હતા કદાચ એની ઉદાસી લાગતી હશે.

 

41300450_10214405946035895_1680812017948033024_n

સંજુ

“સંજુ”

ફિલ્મ સ્ટાર સંજય દત્તનાં જીવન કવન ઉપર બહુ સારી ફિલ્મ બની છે. એના પિતા સુનીલ દત્તના અમે બહુ મોટા ફેન હતા. એની માતા નરગીસ દત્તના પણ એટલા જ ફેન હતા. આપણા તદ્દન જાતિવાદી રૂઢીચુસ્ત સમાજમાં ભલે હિંદુ હોય છતાં પોતાના કરતા જુદી જ્ઞાતિમાં પરણવું એ એક બહુ મોટી ભૂલ ગણાતી હોય ત્યાં એમના સંતાનોને માથે તો બાકીનો સમાજ કાયમ માટે વર્ણશંકરની ટીલી ચોટાડી દેતો હોય છે અને એમનું જીવવું ભારે કરી દેતો હોય છે. બિચારા એવા બાળકો ઘરમાં કશું કહી શકે નહિ અને મનોમન ભારે વ્યથા અનુભવતા હોય છે. એમાંય સંજય દત્ત તો વળી હિંદુ બાપ અને મુસ્લિમ માતાનું સંતાન એણે જે વ્યથા ઘર બહાર નીકળતાં વેઠી હશે તે તો તેજ જાણે.

ફિલ્મ ઉદ્યોગના લોકો એ બાબતમાં ખરા સેક્યુલર કહેવાય કે નાતજાતમાં માને નહિ. જોકે અતિશય ધનાઢ્ય હોવાથી એમને બહુ પડી પણ ના હોય અને લોકો જખ મારીને રીસ્પેક્ટ આપે પણ ખરા.

સંજય દત્તનું જીવન ખુદ એક પ્રેરણાદાયી છે. અમીર બાપની બગડેલી ઓલાદનું ઉત્તમ ઉદાહરણ તો હતો જ. પણ છતાંય એક યોદ્ધાની જેમ તમામ બુરી આદતો સામે લડીને એમાંથી બહાર પણ નીકળ્યો. એક બીડી, સિગરેટ કે ચા છોડવું લોકોને ભારે થઈ જતું હોય છે ત્યાં દુનિયાના તમામ ડ્રગ લઇ ચુકેલો એમાંથી મુક્ત થયો એના જેવી બીજી મોટી કઈ પ્રેરણા આજના યુવાનો એના જીવનમાંથી લઇ શકે?

ગઈ કાલે સંજુ જોઈ યે શેર કી આંખે બાર બાર બરસ પડી. રણબીર કપૂર લાજવાબ. કદાચ સંજય દત્ત ખુદ સંજુના પાત્રમાં રણબીર જેવો અભિનય કરી શક્યો ના હોત. અરે ભાઈ આખિર ડીએનએ કિસકે હૈ? પૃથ્વીરાજ કપૂર, રાજકપૂર, ઋષિકપૂરના કે નહિ? આપણે કોઈ ફિલ્મ વિવેચક નથી, બસ ગમી એટલે ગમી અને એમાંથી કશું નકારાત્મક શીખવા જેવું મળે એવું પણ ના લાગ્યું.

કોઈ અભિનેતા માટે અહોભાવ હોય એટલે એનું કામ સારું જ લાગે એવું બનતું હોય છે. પરેશ રાવલ બહુ સારા અભિનેતા છે. પણ અહિ મને પરેશ રાવલ, પરેશ રાવલ વધુ લાગ્યા સુનીલ દત્ત જેવા ભાગ્યેજ લાગ્યા. સુનીલ દત્તની બહુ ફિલ્મો જોઈ છે. એમની ચાલમાં એક અદ્ભુત ખુમારી હતી, એક છટા હતી. એમની આંખોમાં જબરો કડપ દેખાતો. ઘરમાં જોકે દત્ત સાહેબ એવો અભિનય કરતા ના હોય તે સ્વાભાવિક છે પણ દરેક અભિનેતાની કુદરતી જીવનની આગવી છટા એના અભિનયમાં આવી જઈને એની આગવી ઓળખ ઉભી કરતી હોય છે.

રાજકુમાર તો મલાડમાં પોલીસ ઇન્સ્પેક્ટર હતા. એમની કોર્ટમાં એન્ટ્રી જોઇને કોઈ દીર્ગદર્શકે એમને પહેલો રોલ આપેલો. પ્રાણ સાહેબની લાહોરમાં પાન ખાઈને પિચકારી મારવાની અદા જોઈને કોઈ એમને ફિલ્મોમાં ખેંચી લાવેલું. તમારી ચાલમાં ખુમારી, બોલવાની છટા બધું નેચરલ હોય છે. એક આડ વાત અમારા મિત્રોનો એક બહુ મોટો સમૂહ માનતો કે ભારતીય ફીલ્મોમાં ટીપીકલ ચંબલ ટાઈપ ડાકૂના પાત્રમાં બહુ બધા અભિનેતા આવી ગયા જેવા કે અમિતાભ બચ્ચન, દિલીપકુમાર, ફીરોજખાન, વિનોદ ખન્ના, કબિર બેદી, પ્રાણ પણ સુનિલદત્તની તોલે કોઈ ના આવે.

એ બાબતમાં રણબીરનું કહેવું પડે ઘણીવાર તો એવું લાગતું કે અસલી સંજય દત્ત જ છે. સંજયની તમામ ચાલઢાલ અને હલનચલનનો એણે બાખૂબી અભ્યાસ કર્યો હોવો જોઈએ.

નરગીસજીની બહુ ફિલ્મો જોઈ છે. એમના અભિનયમાં એક રમતિયાળપણું હતું. મનીષા કોઈરાલાએ એ લાવવા સારો પ્રયત્ન કર્યો છે. એ ખુદ કેન્સરની શિકાર છે. ગુજરાતી ભાષામાં કહીએ તો અનુષ્કા હવે ગિલીન્ડર થઈ ગઈ છે. હહાહાહા! મતલબ એના કામમાં કશું કહેવા જેવું છે નહિ. અને કમલી તો કમલી અદ્ભુત અભિનય વડે છવાઈ ગયો.

સંજયનું જીવન જાણે એક કરુણાંતિકા જોવા બેઠા હોઈએ, ખબર હોય અંત ભારે દુખદ હશે અને અચાનક કરુણાંતિકા સુખાન્તિકામાં ફેરવાઈ જાય એવું. ફિલ્મ પણ એવી જ બનાવી છે ક્યારે આંખો વરસી પડે અને ક્યારે હસી પડે ખબર ના પડે. રાજકુમાર હિરાણી દીર્ગદર્શકોમાં રાજકુમાર.

મેં તો ગુજરાતીમાં કોઈ સાયકાયટ્રીસ્ટ ના લખે તેટલું બ્રેન કેમિસ્ટ્રી વિષે લખ્યું છે. મને ખબર છે બ્રેનમાં એકવાર બચપણમાં જે હાર્ડ વાયરીંગ થઈ જાય છે, જે પાથવે બની જાય છે, જે સર્કિટો બની જાય છે તે આજીવન સેવા આપતી હોય છે. એના પર જ ચાલવા મજબૂર કરતી હોય છે. એ સર્કિટો ભૂસી નવી બનાવવી સહેલી નથી. નવા પાથવે, નવી પગદંડીઓ બનાવવી સહેલી નથી. એટલે તો એક ચા નથી છૂટતી, એક તમાકુનો માવો મસાલો છૂટતો નથી, એક સિગરેટ છૂટતી નથી ભલે કેન્સરમાં જીવ જાય. બ્રેનમાં નવી પગદંડીઓ બનાવી એના પર ચાલી નીકળવા અદ્ભુત સામર્થ્ય જોઈએ તે કોઈ ગ્રેટ ગાંધીમાં હોય છે કે પછી કોઈ સામાન્ય સંજુમાં હોય છે.

“કુછ તો લોગ કહેંગે, લોગોકા કામ હૈ કહેના”..

:- ભૂપેન્દ્રસિંહ રાઓલ, સ્ક્રેન્ટન, પેન્સિલવેનિયા.

આસ્તિકોના ‘અ’ કારમાં નાસ્તિકોના ‘ન’ કારમાં

આસ્તિકોના ‘અ’ કારમાં નાસ્તિકોના ‘ન’ કારમાં  – ભૂપેન્દ્રસિંહ રાઓલ, સ્ક્રેન્ટન, પેન્સિલવેનિયા.

ઉત્તરાખંડ કેદારનાથમાં કાળો કેર વર્તાઈ ગયો. હજારો યાત્રીઓ ફસાઈ ગયા અને હજારો મૃત્યુ પણ પામ્યા. કુદરત કુદરતનું કામ કરતી હોય છે. એની વચમાં આસ્તિક આવે કે નાસ્તિક બધાને અસર થઈ જતી હોય છે. સુનામી આવે ત્યારે આસ્તિક નાસ્તિક બધા સાથે જ તણાઈ જતા હોય છે. તમે આસ્તિક છો કે નાસ્તિક કુદરતને કશો ફરક પડતો નથી. કહેવાતા નાસ્તિકો ખુશ થવા લાગ્યા કે લે ભગવાનને મળવા ગયો હતો, લે લેતો જા.. એક ભાઈએ ફેસબુકમા રહેલા ગુજરાતી લેખક મંડળમાં ભગવાન તો ઠીક એની માને ગાળો દેતી કવિતા લખીને મૂકી દીધી.

આસ્તિક તો ઈરેશનલ થિંકિંગ કરતા હોય છે તે તો સમજાય તેવું છે, પણ કહેવાતા નાસ્તિકો પણ ઈરેશનલ થિંકિંગ કરતા હોય છે. જો ભગવાન છે જ નહીં તો તમે ગાળો કોને દો છો ? ભગવાનને માનનારા અને ભગવાનને ભાંડનારા બંને મનમાં ભગવાન છે તે સીધું સાદું લોજિક છે. જે નથી એને ગાળ દેવાનો કોઈ અર્થ ખરો ? વળી પાછી એની માને ગાળ દેવાનો મતલબ ભગવાન કોઈ વ્યક્તિ પણ બની ગયો. વળી કોઈએ વિરોધ ઉઠાવ્યો કે માતાને શું કામ? માને બદલે પિતા શબ્દ વાપરવાનો હતો. મતલબ ભગવાનના પિતાને ગાળ દેવી જોઇતી હતી. સ્ત્રીઓનું શોષણ સમાજ સદીઓથી કરતો આવ્યો છે તો હવે પિતાને ગાળ દો.. ભગવાનના પિતાને ગાળ દો કે માતાને ગાળ દો કે ભગવાનને ભજો દરેક વખતે ઈશ્વરનો સ્વીકાર તો છે જ.

કેદારનાથ ટ્રેજેડી બચાવ કાર્યના ફૂટેજ હું ટીવી ઉપર જોતો હતો. એક પત્રકાર આર્મીના હેલિકૉપ્ટરમાં બેઠો હતો સામે કોઈ નાનો છોકરો અને કોઈ વૃદ્ધ વડીલ બેઠાં હતા. પત્રકાર પેલાં છોકરા સામે માઇક ધરીને રાબેતા મુજબ પૂછતો હોય છે કે ‘કૈસા લગ રહા હૈ?’ આપણા મૂરખ પત્રકારો ગમે તેવી પરિસ્થિતિ હોય ‘કૈસા લગ રહા હૈ?’ પહેલું જ પૂછી લેતા હોય છે. પેલો છોકરો બે હાથ જોડી લગભગ રડવા જેવો ‘હે ભગવાનજી આપકો થેંકયૂ બોલના ચાહતા હું આપને મુજે બચા લીયા’, પછી લાગે છે કે કંઈક અધુરુ છે તો કહે છે આર્મીવાલો કો થેંકયૂ બોલના ચાહતા હું. મને થયું બાળક છે જીંદગીમાં જે જોયું હોય તે જ બોલવાનો છે. પણ સવાલ એ છે કે તને એકલાંને બચાવી લીધો તું થેંકયૂ કહે છે અને બીજા હજારો મરી ગયા શું કહેતા હશે ? ભાઈ તું કોઈ સ્પેશલ વ્યક્તિ છે કે ભગવાનનો સંબંધી છે કે તને બચાવ્યો અને જે મરી ગયા તે ભગવાનના દુશ્મન હતાં ? કે અળખામણા હતાં ? બચી ગયેલા ભગવાનનો પાડ માનતા હોય છે તો મરી ગયા એમાં ભગવાન જવાબદાર ? આવી યાત્રાઓમાં લોકો બીજા કુટુંબીઓ સાથે જતા હોય છે, એમાંથી એક બચી જાય અને બીજો મરી જાય તો શું માનવાનું ? ‘ભગવાનનો પાડ માનો કે હું બચી ગયો અને મારી સાથે આવેલા મારા વાઈફ (ભાઇ-કાકા-મામા-ફોઈ-પિતા-માતા) મરી ગયા.’ હસવા જેવું લાગે છે ને?

તમે હરવા ફરવા જાઓ કે પર્વતારોહણ કરવા જાઓ એમાં ફરક હોય છે. ચોમાસામાં વિષમ વાતાવરણ થવાનું હોય તો આપણે ફરવા જતા નથી. અહીં અમે વેધર ખરાબ હોય સહેજ વરસાદ હોય તો પણ બહાર ફરવા જતા નથી ઘરમાં ભરાઈ રહેતા હોઈએ છીએ. પર્વતારોહકો પૂરતી તૈયારી કરીને જતા હોય છે અને હવામાન સમાચારો સાથે સંપર્કમાં રહેતા હોય છે. ધાર્મિક ઘેલછા કોઈ તૈયારી કરવા રહેતી નથી. એમના માટે ચોક્કસ દિવસનું મહત્વ હોય છે. વળી પાછાં લાખોની સંખ્યામાં ઊમટી પડતા હોય છે. આવી ગરબડ થાય તો લાખોને રેસ્ક્યૂ કરવા સરકાર માટે પણ મુશ્કેલી છે. ચાલવા અસમર્થ હોય એવા વૃદ્ધો પણ પુણ્ય કમાવા કે પરલોક સુધારવા આવી દુર્ગમ જગ્યાઓએ પહોચી જતા હોય છે. પછી આર્મીના માથે પડતા હોય છે.

ભગવાન સર્વવ્યાપી હોય, તો ઘરમાં ક્યાં નથી હોતો? મૂળ આપણું લોજિક જ ખોટું છે. આપણે ભગવાન વિષે દિશાવિહિન છિયે. એક બાજુ કહીએ છીએ કે ભગવાન બધે જ છે અને મંદિરમાં દોટો મૂકીયે છીએ. એક બાજુ કહીએ છીએ ભગવાન સર્વમાં છે અને કોઈ સ્પેશલ ગુરુ ઘંટાલના ચરણોમાં લોટી પડીએ છીએ. એક બાજુ કહીએ છીએ તે જગતનો નાથ છે અને મંદિરોમાં ધનના ઢગલા કરી દઈએ છીએ. જગતના નાથને આપણા પૈસાની શું જરૂર ? એક બાજુ કહીએ છીએ ભગવાન તો એક જ છે પણ દરેકના ભગવાન જુદા જુદા છે. એમાંય મારો સાચો અને તારો ખોટો. હું વૈષ્ણવ એટલે કપડાં સિવાય તેવું પણ બોલાય નહી કેમ કે સિવાય શબ્દમાં શિવ-શંકર નમઃશિવાય નો ધ્વનિ વર્તાય છે.

એક બાજુ કર્મના નિયમને આધીન કહીંયે છીએ તો પછી ભગવાન આગળ કરગરો કે પ્રસાદ ધરાવો શું ફરક પડવાનો? તમે ગમે તેટલાં કાલાવાલા કરશો કરમ ને આધીન હશો તો તે કશું કરવાનો નથી. અને કાલાવાલા કરવાથી કશું કરે તો તે પક્ષપાતી ગણાય. હોય તો પક્ષપાત કરે ખરો? પક્ષપાત કરે તો ભગવાન કહેવાય ખરો? અને હોય તો એને ભક્તો સાથે ડીલિંગ કરવા વચમાં બ્રોકર જોઈએ ખરા?

મૂલતઃ માનવ સમૂહમાં રહેવા ઈવોલ્વ થયેલો છે અને સમૂહનો એક નેતા હોય છે, નેતાને ખુશ રાખવો પડતો હોય છે, નેતા સાથે ડાઇરેક્ટ ડીલિંગ કરવું અઘરૂ તો વચમાં એક વચેટિયો જોઈએ જે સમૂહના વડા સામે આપણી વાત રજું કરે, ઘરમાં પિતા કડક હોય તો કોઈ માગણી માતા દ્વારા કરાતી હોય છે. નેતાને ખુશામત કરી રીઝવી શકાય છે, નેતાને ભેટસોગાદ આપીયે તો ખુશ રહે તો કામ થઈ જાય કે પહેલા આપણું સાંભળે. નેતા સમૂહનું રક્ષણ કરતો હોય છે તો એ કામ કરીને કમાવાની ઝંઝટમાંથી મુક્ત રહેતો હોય છે આપણા પૈસે લીલાલહેર કરતો હોય છે. નેતા સમયે સમયે બદલાઈ જતા હોય છે.

સેઇમ થિંગ આપણો ભગવાન વિષે કૉન્સેપ્ટ આવો જ છે. ભલે પુસ્તકોમાં બહુ આદર્શ કૉન્સેપ્ટ ઊભા કરીએ આચરણમાં આપણે જે કરતાં હોઈએ તેવું જ ભગવાન વિષે કરતાં હોઈએ છીએ. આપણા રાજાઓ, નેતાઓ અને ભગવાનમાં કોઈ ફરક નથી. એટલે તો કૃષ્ણ અને રામ જેવા રાજાઓ ને ભગવાન બનાવી બેઠાં છીએ. આમ આપણી કરણી અને કથની જુદી પડી જાય છે. કહીંયે જુદું કરીયે જુદું. માટે આપણે કહીંયે ભગવાન સર્વવ્યાપી છે પણ એ તો કોઈ ઊંચી જગ્યાએ બેઠો છે માટે એને મળવા દોટો મૂકવી પડે છે. આપણે કહીએ સર્વમાં છે પણ એની આગળ આપણી વાત રજૂ કરવા બ્રોકર શોધીએ છીએ, કહીએ જગતનો નાથ છે પણ માનીએ છીએ કે જગન્નાથના હાથ ખાલી છે. ભગવાન માટે બધા સરખાં એવું કહીએ ખરા પણ માનતા નથી. માટે આપણે એને પ્રસાદ ધરાવીએ છીએ, કાલાવાલા કરીએ છીએ કે મારુ ટેન્ડર પાસ કરજે બીજાનું ના કરતો. બીજો વળી એનું ટેન્ડર પાસ કરાવવા વળી એના ભગવાનને કરગરતો હોય. નેતા બદલાઈ જતા હોય છે તેમ ભગવાન પણ બદલાઈ જતા હોય છે. હવે બ્રહ્મા, વિષ્ણું ઓછા પૂજાય છે, રામ-કૃષ્ણ જોઈએ તેવું કામ આપતા નથી સાંઈબાબા શરૂ કરો.

ઘણીવાર રાજાને હટાવી મંત્રી કે સેનાપતિ પોતે રાજા બની જતો હોય છે. ભોંસલે રાજાઓને બાજુ પર રાખી પેશ્વા-મંત્રી રાજા બની ગયેલા. રાજાના એક સમયના પ્યૂન રાજા બની જતા હોય છે. બાપને હટાવી દીકરો પરાણે રાજા બની જતો હોય છે. રાજાનો ભાઈ બળવાન હોય તો બીજે વસીને નવું રાજ્ય વસાવતો હોય છે. ભગવાન હોય, ધર્મ હોય કે સંપ્રદાય હોય આજ સિનારિઓ ચાલતો હોય છે. ક્યાંક રામને બદલે હનુમાન વધુ પૂજાતા હોય છે. ખંડીયા રાજાઓનો એક ચક્રવર્તી રાજા હોય છે તેમ દેવાધિદેવ દેવ હોય છે.

દરેક માનવ સમૂહના પોતપોતાના અલગ નિયમો કાયદા હોય છે. તેમ ભલે એક જ ધર્મના હોય પણ અલગ અલગ સંપ્રદાયના નિયમો માન્યતાઓ અલગ અલગ હોય છે. બધા એકબીજાના દુશ્મનો. શિયા સુન્ની એકબીજાના દુશ્મન. એક જ સ્વામિનારાયણ ધર્મ કહેવાય પણ કાલુપુરવાળા કે વડતાલવાળા બાપ્સવાળાને ગાળો દેતા હશે. કારણ આચાર્યોને બાજુ પર રાખી સેવકો હવે ભગવાન બની ગયા છે. કૅથલિક અને પ્રોટેસ્ટન્ટનો ઝગડો વર્ષો જુનો છે.

શાંતિથી વિચારો સમજો ભગવાન વિષે, ધરમ વિષે આપણે ભલે ઉચ્ચ ફિલૉસફી કે મહાન આદર્શ દર્શાવતી વાતો કરીએ કે શાસ્ત્રો રચીએ પણ આપણા સામાજિક ઢાંચા પ્રમાણે જ ભગવાનની ધારણાનું અને ધર્મનું નિયમન થતું હોય છે. અહીં આપણી કથની અને કરણી વચ્ચે આભ જમીનનો ફરક પડી જાય છે. એટલે ધર્મની સૌથી વધુ વાતો કરનારા નૈતિક રીતે સૌથી વધુ અધાર્મિક દેખાતા હોય છે. જય શ્રી કૃષ્ણ અને જય જિનેન્દ્ર કહ્યા વગર ઘરની બહાર પગ ના મૂકનારા સૌથી વધુ આર્થિક કૌભાંડ કરતા હોય છે.

એક પૌરાણિક વાર્તા- એકવાર ભગવાન વિષ્ણુ બપોરની નૅપ લેતા હતા. બે દ્વારપાલ ચોકી કરતા હતા. એવામાં એક બ્રહ્મચારી ઋષિ ભગવાનને મળવા આવ્યા. અપૉઈન્ટમેન્ટ વગર આવેલા એટલે દ્વારપાલે રોક્યા. બ્રહ્મચર્યનું ફ્રસ્ટ્રેશન ગુસ્સો બહુ આપે. સીધો શ્રાપ આપી દીધો મૃત્યુલોકમાં બદલી કરાવી નાખીશ. ભગવાન જાગ્યા. દ્વારપાલ કરગરી પડ્યા પણ હવે બદલી તો કરવી જ પડશે. મુખ્યમંત્રીને ધારાસભ્યના કહેવાથી સંનિષ્ઠ અધિકારીની બદલી કરવી પડતી હોય છે. દ્વારપાલોએ કહ્યું અમે તો ફરજ બજાવી છે. પણ આ દેશમાં ફરજ બજાવો તો ઇનામને બદલે સજા મળવાનું આજનું નથી. કિરણ બેદીના એક પી.એસ.આઈ એ નો-પાર્કિંગમાં મૂકેલી કાર ખેંચાવી લીધી હતી. કાર ઈંદીરા ગાંધીની નીકળી. વાત આવી કે પી.એસ.આઈ ને સસ્પેન્ડ કરો. કિરણ બેદીએ કહ્યું એણે ફરજ બજાવી છે. એને સસ્પેન્ડ ના કરાય તો ઉપરી અધિકારીઓએ કિરણ બેદીની જ બદલી કરી નાખી, દિલ્હી થી ગોવા..

દ્વારપાલ બહુ કરગર્યા તો તોડ કાઢ્યો કે પ્રેમ ભાવે ભજશો તો સાત જનમ (જનમટીપ) બદલી કાયમ રહેશે. અને વેરભાવે ભજશો તો ત્રણ જનમ બહુ થઈ ગયા. આ શ્રાપ અને આશીર્વાદ ભારતમાં ઇમોશનલ અત્યાચાર કરવાના બે મુખ્ય સાધન હતા. આશીર્વાદની લાલચ અને શ્રાપની બીક બહુ લોકોને પીડતી. બન્ને દ્વારપાલનો પહેલો જનમ હીરણાક્ષ અને હીરણ્યકશ્યપુ, બીજો જનમ રાવણ અને કુંભકર્ણ અને ત્રીજો હું માનું છું કંસ અને શિશુપાલ…પછી આ ભક્તો પાછાં વિષ્ણુધામ દ્વારપાલ તરીકે રિટર્ન..

મૂળ વાત એ છે કે આપણે વાતો ગમે તેટલી ડાહી ડાહી કરીએ ભગવાન વિષે ઉચ્ચ આદર્શો અને ફિલૉસફી ફાડંફાડ કરીએ આપણો ભગવાન આપણા જેવો જ હોય છે. ધર્મોની સારી સારી વાતો પુસ્તકોમાં જ શોભાયમાન હોય છે અમલમાં નહિ.

એક ધનસુખભાઈ ભગવાનમાં માનતા નહોતા. મંદિરમાં જતા તો મૂર્તિ આગળ અવળા ફરીને ઊભા રહેતા. જો તમે ભગવાનમાં માનતા જ ના હોવ તો પહેલું મંદિરમાં જવાની જરૂર શું? અને ભૂલમાં જઈ ચડ્યા તો અવળા ફરીને ઊભા રહેવાની જરૂર શું? કોઈ છે નહિ તો કોની સામે અવળા ફરીને ઊભા રહો છો? તમારૂ કામ ના થયુ તમે નારાજ છો માટે ભગવાનમાં માનતા નથી કામ થયુ હોત તો તમે માનતા જ હોત.

મૂળ ભગવાનને ગાળો દઈને ગદ્ય કે પદ્ય રચાતા હોય છે તેમાં ભગવાન તો અધ્યાહાર હોય છે, એક બહાનું હોય છે. એમાં એક વર્ગનો બીજા વર્ગ સામેનો આક્રોશ જ ભરેલો હોય છે.

રાતે કૃષ્ણ કાનમાં કહી ગયા કે  “હું સર્વવ્યાપી છું, આસ્તિકોના ‘અ’ કારમાં નાસ્તિકોના ‘ન’ કારમાં.” and one more thing my freind, religious emotionals are the most dangerous animlas on the earth એમનાથી દૂર રહેવું. મેં કહ્યું ઓહોહો ભગવાન તમે  અંગ્રેજી ક્યારનાં ફાડવા માંડ્યા? ભગવાન કહે અલ્યા મારા મંદિર હવે અમેરિકામાં ય ખૂબ બનવા માંડ્યા છે એટલે મારે ય જેવો દેશ એવી ભાષા શીખવી પડે કે નહિ?

૧૯૪૭ હાથમાં દોરી લોટો..

sardar-vallabhbhai-patel_c9fda102-cdc9-11e7-a40e-766ee48c25bf૧૯૪૭ હાથમાં દોરી લોટો.. : લે. ભૂપેન્દ્રસિંહ રાઓલ, સ્ક્રેન્ટન, પેન્સિલવેનીયા.

૨૦૧૦માં સીટીઝન માટેની લેવાતી મૌખિક/લેખિત પરિક્ષા આપવા ગયો ત્યારે ત્યાં બેઠેલી શ્વેત મહિલા પરીક્ષકે પૂછ્યું કે અમેરિકામાં વસાહતીઓ કેમ આવેલા તેનું એક કારણ આપો. કુલ દસ સવાલો અમેરિકન ઈતિહાસ અને નાગરીકશાસ્ત્ર વિષે પૂછે એમાંથી છ સાચા પડવા જોઈએ. પહેલા છ સાચા પડી જય તો સાતમો સવાલ પૂછે પણ નહિ. મેં જવાબ આપ્યો કોઈ પણ ધર્મ પાળવાની છૂટ મળે માટે. તો કહે સાચું હવે બીજો સવાલ.

અમેરિકન નાગરિકોને બંધારણ દ્વારા મળતા કોઈ બે હક વિષે જણાવો.

મેં કહ્યું એક તો ફ્રીડમ ઓફ સ્પીચ અને બીજો કોઈ પણ ધર્મ પાળવાની છૂટ.

પેલી મહિલા કહે બે સવાલોના એક જ જવાબ તે આપ્યા કોઈ પણ ધર્મ પાળવાની છૂટ. હું કન્ફયુઝ થઈ ગઈ છું મારે કમ્પ્યુટરમાં ચેક કરવું પડશે. મેં કહ્યું કરો હું સાચો છું.

કમ્પ્યુટરમાં જોઈ કહે તું સાચો છે.

અમેરિકામાં યુરોપથી ખાસ તો બ્રિટનથી વસાહતીઓ એટલા માટે આવેલા કે કોઈપણ ધર્મ પાળવાની છૂટ મળે. બ્રિટનમાં રાજાએ પ્રોટેસ્ટંટ ધર્મ અપનાવી પ્રજાને ફરજ પાડવા માંડેલી એના વિરુદ્ધમાં રોમન કેથોલિક નવા શોધાયેલા અમેરિકામાં ઘૂસવા માંડ્યા હતા. અને અમેરિકા સ્વતંત્ર થયા પછી બંધારણ દ્વારા મૂળભૂત અધિકાર દરેક નાગરિકને આપવામાં આવ્યો છે કોઈ પણ ધર્મ પાળવાની છૂટ. હથિયાર રાખવાનો હક પણ બંધારણ દ્વારા મળેલો છે.

અમેરિકાના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જ્યોર્જ વોશિંગ્ટનની ભૂમિકા મહત્વની હતી. તમને ખબર નહિ હોય એની પાસે લગભગ ૧૫૦ ચોરસ કિલોમીટર જમીન હતી. આટલામાં તો ભારતનું એક રજવાડું ઉભું થઈ જાય. ૧૫૦ ચોરસ કિલોમીટરમાં જેટલા ગામડા હોય તે બધા એના હતા. એમાં રહેતા લોકો એના ખેતરોમાં કામ કરતા. અમેરિકન પ્રજાએ એકવાર તો એને રાજા બનાવવાની ઓફર પણ કરેલી. તે સમયે રાજાશાહી બધે ચાલતી જ હતી, પણ એમણે ના પાડી અને લોકશાહી સ્થાપી પહેલા પ્રમુખ બન્યા. સત્તા મળે પછી નેતાઓની સચ્ચાઈ બહાર આવી જતી હોય છે. ખાલી કપડાંની વાત કરીએ તો આપણા સાદગીનો અવતાર ગણાતા નેતાઓ સત્તા મળતા કરોડો રૂપિયા કપડાં પાછળ વાપરતા થઈ જતાં હોય છે. સાદગી હવાઈ જતી હોય છે. આપણે રાષ્ટ્રપિતા તરીકે ફક્ત ગાંધીજીને ક્રેડીટ આપી દીધી એમાં ખોટું નથી પણ અમેરિકન ફરક જુઓ એ લોકોએ કોઈ એકને બદલે ફાઉન્ડર ફાધર્સ કહીને વોશિંગ્ટન સાથે જોહન એડમ્સ, બેન્જામીન ફ્રેન્કલીન, અલેક્ઝાન્ડર હેમિલ્ટન, જોહન જય(જય નામ અમેરિકનો પણ રાખતા હોય છે), થોમસ જેફરસન અને જેમ્સ મેડીસન બધાને ક્રેડીટ આપી. આ બધાએ ભેગા મળી નક્કી કરેલું કે અમેરિકાની પ્રગતિ ઇચ્છવી હોય તો કોઈપણ ધર્મોની દખલ રાજકીય વહીવટમાં ના જોઈએ, અને કાયદા બધા માટે સમાન. આજે ફક્ત ૨૫૦ વર્ષ જુનો દેશ નંબર વન મહાસત્તા અમસ્તો નથી બની ગયો. ધર્મના અફીણ પીને તમે કદી પ્રગતિ કરી શકો નહિ. અફીણ પીડાશામક હોય છે. પીડા તો ચાલુ જ હોય છે ફક્ત એના સંદેશા ચેતાતંત્ર દ્વારા મસ્તિષ્કને મળતા નથી એટલે રાહત લાગતી હોય છે. પ્રગતિ, વિકાસ બહુ મહેનત માંગી લે તેવું કામ હોય છે, જે પીડાદાયી હોય છે. શરીરની પીડા હોય કે સમાજની પીડા, છોડ પરથી મેળવેલું કે ધર્મનું અફીણ પીડાના સંદેશા મૂળ જગ્યાએ પહોચવા દેતું નથી એટલે તત્કાલીન રાહત લાગે પણ રોગના મૂળ સુધી પહોચાય નહિ. ધર્મને તમારે શયનકક્ષ સુધી સીમિત રાખવો જોઈએ, દીવાનખંડમાં પણ લવાય નહિ અને રસ્તા ઉપર તો કદાપિ ના લવાય.

આટલી લાંબી પ્રસ્તાવના એટલા માટે કરી કે ભારત સ્વતંત્ર થયું ત્યારે ઝીરો જીડીપી સાથે એની પાસે કોઈ સ્ટ્રક્ચર હતું નહિ. ના સારી સ્કૂલો, કોલેજો, યુનિવર્સીટીઓ, વૈજ્ઞાનિક રીસર્ચ સંસ્થાઓ કશું નહોતું. લગભગ ઝીરોથી શરુ કરવાનું હતું. આપણે નથી કહેતા અમુક ભાઈ દોરી લોટો લઈને આવેલા આજે કરોડપતિ છે? આ મહાવરો એટલે પડેલો કે પાસે કશું ના હોય પણ માણસ પરદેશ જાય, બહારગામ જાય તો રસ્તામાં આવતા કુવામાંથી પાણી પીવા દોરી લોટો જરૂર રાખે. એટલે ફક્ત દોરી લોટો લઈને આવેલો માણસ મહેનત કરી કરોડો કમાય ત્યારે લોકો આવો મહાવરો એના માટે વાપરતા હોય છે. એક જમાનાના સોનેકી ચીડિયા ભારત પાસે આજે ફક્ત દોરી લોટો હતો, વધારામાં ભારતના ભાગલાને કારણે લાખોની હત્યાઓ થયેલી એની પીડા અસહ્ય હતી.

આઝાદ ભારતના હાથમાં ફક્ત દોરી લોટો હતો અને પ્રજા ખૂબ ધાર્મિક અને જાતજાતની અંધશ્રધ્ધાઓમાં ફસાયેલી હતી, હજુ ય એનું એજ છે. બીજી તકલીફ એ હતી કે અમેરિકાની જેમ ભારતના જ્યોર્જ વોશિંગ્ટન ગાંધીજી કાર્યરત હતા નહિ. જ્યોર્જ વોશિંગ્ટન આઝાદીની લડાઈ લડી બેસી ના ગયા સક્રિય રીતે બેવાર પ્રમુખ બની આજીવન પ્રમુખ બનવાની તથા કિંગ બનવાની ઓફર ઠુકરાવી પછી રીટાયર થયેલા. અમેરિકાને ફાયદો એ હતો કે તેની આઝાદીના તમામ મુખ્ય લડવૈયા હજુ કાર્યરત હતા. સરદાર બીમાર હતા, બહુ લાંબુ ખેચે તેવા નહોતા. એમને ખરેખર અતિશય દુષ્કર એવું રજવાડા ભેગા કરવાનું કામ સોપાયું હતું. હજુ ભારતનું પોતાનું બંધારણ પણ ઘડવાનું બાકી હતું. બ્રિટનમાં ટ્રીનીટી કૉલેજ કેમ્બ્રિજમાં ભણેલા બેરિસ્ટર બનેલા નહેરુ બહુ અભ્યાસુ હતા. તે જાણતા હતા ધર્મના અફીણની અસરો, માટે દેશને ધર્મનિરપેક્ષ રાખેલો. બંધારણ ઘડવા સભ્યોની કમિટી બનાવી તેના આંબેડકરને નીમી મહત્વનું કામ શરુ કરેલું. સરદારને અન્યાય અન્યાયની બૂમો પાડનારને ખબર નથી કે સ્વતંત્ર ભારતની પહેલી ચુંટણી લડવા સરદાર જીવિત રહ્યા નહોતા. ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦મા સ્વતંત્ર ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ૧૯૫૨મા પહેલી ચુંટણી થઈ, પણ સરદાર તો ૧૯૫૦નાં ડીસેમ્બરમાં અવસાન પામેલા. સરદાર વડાંપ્રધાન બન્યા હોત તો પણ નહેરુ સત્તરને બદલે ચૌદ વર્ષ વડાપ્રધાન રહેવાના જ હતા.

બીજી મહત્વની વાત એ કે હાલ નહેરુ ગાંધી ફેમીલી વિષે વિષાક્ત, ધરાર જુઠ ફેલાવવામાં આવે છે કે તેમના પૂર્વજો મુસ્લિમ હતા અને અંધ, બોઘા, બુદ્ધિ વગરના, વિચારવાની બારીઓ સદાય વાખેલી હોય તેવા અભાન, ભણેલા અભણ ઘેટા એણે સાચું માની લે ત્યારે ખૂબ હસવું આવે. હિંદુ ધરામાં કોઈ મુસ્લિમ હિંદુ બનીને આવે તેવી કોઈ શક્યા છે જ નહિ. હિંદુ ધર્મ વન વે જેવો છે. એમાંથી બહાર જવાય પણ બહારથી અંદર અવાય નહિ. મુસ્લિમ ધર્મમાં તમે કોઈ પણ ધર્મના હોવ વટલાઈને જઈ શકો છો. હિંદુ ધર્મમાં એવી કોઈ સગવડ નથી, નહીતો મહંમદઅલી જિન્નાહના દાદા જે ઠક્કર હતા અને વૈષ્ણવ હતા તે મુસ્લિમ બન્યા જ ના હોત. એમણે ફક્ત માછલીઓનો વેપાર કરેલો તો પણ નાતબહાર મૂકીને પરત નાતમાં લેવાયા નહિ એટલે તેઓ મુસ્લિમ બનેલા. એવા હજારો દાખલા હશે કે મોતના ભયે કે બીજા કોઇપણ કારણે મુસ્લિમ બનેલા મૂળ હિન્દુઓને ફરી હિંદુ બનવા સખત મનાઈ ફરમાવાયેલી. આં સીધું સાદું ગણિત છે કે હિન્દુમાંથી મુસ્લિમ બની શકો પણ મુસ્લિમમાંથી તમે કદાપિ ફરી હિંદુ બની શકો નહિ તો તો અને તો નહેરુ ગાંધીના પૂર્વજો મુસ્લિમમાંથી હિંદુ તરીકે ઘૂસ્યા કઈ રીતે? કાશ્મીરના શેખ અબ્દુલા અને ફારુખ અબ્દુલના પૂર્વજો હિંદુ હતા પછી મુસ્લિમ બનેલા તે હકીકત છે.

ડૉ હોમી જહાંગીર ભાભા નામના પારસી અણુવૈજ્ઞાનિકને નહેરુ જહાજમાં મળી ગયેલા. તેમણે ભારત ખેંચી લાવી ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર શરુ કરાવનાર નહેરુ હતા. ડૉ વિક્રમ સારાભાઈને લઇ ઈસરો સ્થાપનાર નહેરુ હતા. ભાખરા નાંગલ જેવા ભવ્ય બંધો આઈ.ઈ.ટી. જેવી કૉલેજો સ્થાપનાર નહેરુ હતા. ખેર આપણે નહેરુના કામ ગણાવવા નથી. પણ નહેરુ એક વિઝનરી નેતા હતા. પણ આખરે માનવી હતા તેમની ભૂલો પણ થઈ હશે. વગર ગુગલીંગ કરે નહેરુએ જેલમાં બેઠા બેઠા ડીસ્કવરી ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક લખેલું જે ભારતના ઈતિહાસ અને સંસ્કૃતિને સમજવા માટે ખૂબ જ પ્રમાણભૂત છે. એના પરથી ભારત એક ખોજ નામની એક ટીવી સીરીઝ પણ બનેલી જે ખૂબ લોકપ્રિય બનેલી. એમણે વર્લ્ડ હિસ્ટ્રી ઉપર પણ એક સરસ પુસ્તક લખેલું. દોમ દોમ સાહ્યબી છોડીને ઓલમોસ્ટ નવ વર્ષ જેલમાં રહેલાં નહેરુની સરખામણી આજના કોઈ નેતા જોડે થાય જ નહિ. આજે વિવેકાનંદ અને દયાનંદને સમકાલીન ઠરાવી દેનારા, થીમૈયા અને કરિઅપ્પાનાં ઇતિહાસની કઢી કરી નાખનારા સામાન્ય જ્ઞાનની સામાન્ય પરીક્ષામાં નાપાસ થાય એવા તુચ્છ નેતાઓ સતત નહેરુને ભાંડી એક રીતે સારું કામ કરી રહ્યા છે કે નહેરુના કામની નવી પેઢીને ખબર નહોતી તે ઉજાગર થયા. કારણ જૂઠને પગ હોતા નથી તે ક્યારેક તો ગબડવાનું જ છે.

દસ હજાર વર્ષ જૂની સંસ્કૃતિની ઈમારત સાવ ધરાશાયી થઈ ગઈ હતી ત્યારે હાથમાં ફક્ત દોરી લોટો લઈને ફરીથી એને ભવ્ય રીતે ચણવા કેટલાક મરજીવા નીકળેલા એમાંના એક નહેરુ પણ હતા એક સરદાર પણ હતા.

 

હસતા રહો —- અમારાં ગામનો એક મુફલીસ મંગો મને એકવાર અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં મળી ગયો. હું ત્યારે જમાલપુર શાકમાર્કેટમાં ટ્રક લઈને શાકના જથ્થાબંધ વેપારીનું શાકભાજી ભરવા જતો. બાજુમાં જગન્નાથ મંદિર એટલે આ પરસાદીયા ભગત માલપુવાનો પ્રસાદ ખાવા પહોંચી જતાં, ત્યાં આ મંગો ભવ્ય દાઢીમાં ભગવા કપડામાં ભટકાણો. મને કહે બાપુ મૈને સબ મોહમાયા સંસાર સબ છોડ દિયા. મેં એના કાનમાં એક ગાળ દઈને કહ્યું ડો___ તારી જોડે હતું શું? કયા બંગલા મહેલ છોડ્યા તે? એક છાપરીમાં પડી રહેતો ને મજૂરી કરતો હતો. હવે અહિ શાંતિ, માલપુવા મફતમાં તોડવા મળશે અને બોલવાની આવડત હશે તો મોટો ગુરુ ય બની જઈશ. હસતા હસતા મને કહે બાપુ ચૂપ રહો મેરી પોલ યહાં મત ખોલો.

વર્ણભેદ બંધિયાર ખાબોચિયું

shambhukવર્ણભેદ બંધિયાર ખાબોચિયું

આપણે સસ્તન એટલે કે મેમલ પ્રાણી છીએ. એટલે સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલા છીએ. એટલે આપણા સમાજ હોય છે. ગરોળી કે સાપના સમાજ નથી હોતા કારણ સરીસર્પ ઉત્ક્રાન્તિના ક્રમમાં સમૂહમાં રહેવા-જીવવા ઉત્ક્રાંતિ પામેલા નથી. દરેક સસ્તન પ્રાણી પાસે લીમ્બીક સીસ્ટમ એટલે કે નાનું મગજ હોય છે અને સાથે સાથે કોર્ટેક્સ હોય છે. લીમ્બીક સીસ્ટમ એટલે કે નાના મગજની અંદર સરીસર્પનું બ્રેન પણ આવી જાય. આ લીમ્બીક સીસ્ટમ સિવાયનું કોર્ટેક્સ બીજા પ્રાણીઓ પાસે નાનું અથવા સાવ નજીવું હોય છે ફક્ત માનવ પાસે બહુ મોટું છે માટે લાર્જ કોર્ટેક્સ કહીએ છીએ. એને સાદી ભાષામાં મોટું મગજ કહીએ છીએ. જે વિચારવાનું, તર્ક કરવાનું, વિશ્લેષણ કરવાનું, ભાષા વગેરે પર કાબુ ધરાવે છે. હવે લીમ્બીક સીસ્ટમ એટલે કે નાના મગજ પાસે શબ્દોની કોઈ ભાષા નથી એની ભાષા છે ન્યુરો કેમિકલ્સ. કરોડો વર્ષોથી વિકસેલ નાનું મગજ કેમિકલ્સની ભાષા ધરાવતું અને સર્વાઈવલ માટે કામ કરતુ હોય છે જે લાગણીઓ પર કાબુ ધરાવતું હોય છે. એની સામે લાખો વર્ષથી વિકસેલું મોટું મગજ વિચારવાનું કામ કરતુ હોય છે એની પાસે શબ્દોની ભાષા છે. ભલે મોટું હોય પણ તે લીમ્બીક સિસ્ટમના ધક્કા આગળ મોટાભાગે હારી જતુ હોય છે અને તેની હાર માટે અવનવા બહાના શોધી કાઢતું હોય છે.

સર્વાઈવલ માટે ડોમિનન્ટ બનવું જરૂરી હોય છે તે આપણા DNA માં કરોડો વર્ષોથી વણાયેલું હોય છે. ટૂંકમાં પ્રાણીઓ પાસે બ્રેન નાનું હોય છે, ન્યુરૉન્સ ઓછા હોય છે, માટે વિચારવાનું ખાસ હોતું નથી. ન્યુરોકેમિસ્ટ્રી જેમ દોરે તેમ દોરાવાનું. સર્વાઇવલ માટે લડ્યા કરવાનું, એક સ્ટ્રેસ પૂરો થાય એટલે બીજો જ્યાં સુધી ઊભો નાં થાય ત્યાં સુધી શાંતિ. માનવ પાસે મોટું વિચારશીલ બ્રેન છે, પુષ્કળ ન્યુરૉન્સ છે. માટે એકલાં ન્યુરોકેમિકલ ઉપર આધાર રાખવાનો હોય નહિ. મોટા બ્રેનમાં ઘણી બધી મૅમરી પણ ભરેલી હોય. એટલે માનવે જાત જાતની નવી નવી વ્યવસ્થાઓ શોધી કાઢી. હૅપી કેમિકલનો બ્રેનમાં થતો સ્ત્રાવ આનંદ આપતો હોય છે. પ્રાણીઓમાં તો નબળા પ્રાણીને મારીને દબાવીને ડૉમિનન્ટ બની જવાય, અને સિરોટોનીન(serotonin) સ્ત્રવે એટલે ખુશ. પણ માનવોમાં આવું કરી શકાય નહિ. એટલે માનવજાતે ચડતા ઊતરતા દરજ્જાની સર્વોપરી બનવાની એક સામાજિક વ્યવસ્થા શોધી કાઢી. બે માનવ ભેગાં થાય, બાર થાય કે બે લાખ કોણ ઊંચું અને કોણ નીચું અચેતન રૂપે સરખામણી શરુ, અને ઉંચો સાબિત કરવાનું શરુ થઈ જાય. બહુ જટિલ રીતો માનવ બ્રેન શોધી કાઢતું હોય છે.

દરેક માનવ પોતપોતાની રીતે Social dominance hierarchy ઊભી કરી નાખતો હોય છે.

રમતવીરની એની પોતાની દુનિયા હોય છે, ઘણાને ટપાલ ટીકીટો ભેગી કરવાનો હોબી હોય છે. એક ઉદ્યોગપતિને જૂની પુરાણી ઍન્ટિક ગાડીઓ ભેગી કરવાનો શોખ હતો. હવે ટપાલ ટીકીટો ભેગી કરનારા, કે સિક્કા ભેગા કરનારાઓ, કે જૂની પુરાની ગાડીઓ ભેગા કરનારાઓમાં પ્રથમ આવવાનું મહત્વનું બની જવાનું.  ધન ભેગું કરીને સમાજમાં સર્વોપરી બનવાનું ઘણું બધું ધ્યાન અને મહેનત માંગી લે તેવું હોય છે, પણ માણસ નવા સામાજિક નુસખા શોધી કાઢતો હોય છે. આકર્ષકતા, નૉલેજ, શારીરિક સામર્થ્ય, આધ્યાત્મિકતા, પદ, પ્રતિષ્ઠા વગેરે ઉપર આધારિત ઊંચા નીચાની એક પૅટર્ન શોધી કાઢવામાં આવે છે. માનવમનની સોશિઅલ ડૉમિનન્સ  હાઇઆરાર્કી એટલી બધી કૉમ્પ્લિકેટેડ છે કે ના પૂછો વાત.

કોઈ સરળ મનુષ્ય સવાલ કરશે કે શા માટે ડૉમીનન્ટ બનવું જોઈએ ? આદિમ કે પ્રથમ મૅમલ પાસેથી એનો જવાબ મળશે. સમૂહમાં રહેવું ફાયદાકારક કે પ્રિડેટરથી બચી જવાય. કોઈ એકલાં  સરીસર્પને એક ટુકડો ખાવા મળી જાય તો વાંધો ના આવે. પણ મૅમલ તો ગૃપમા રહે અને આખું ટોળું એક ટુકડો ખાવા ધસી જાય તો? એટલે જે નબળા હશે તે થોડા પાછળ રહેવાના, જબરાં ખાઈ લે પછી ખાવું સારું. આમ બચી જવાય અને લાંબો સમય જીવતા રહી શકાય, આમ આવી વર્તણુક ઘડાવાની. આમ નૅચરલ સિલેક્શન મૅમલને ગૃપમા રહેવાની ટેક્નિક શીખવતું હોય છે. દરેક માનવ હોય કે પ્રાણી એનું સ્થાન ક્યાં અને કેટલું છે તે જાણતું હોય છે.

ઉપરની ૫૦૦ જેટલા શબ્દોની મગજમારી એટલા માટે કરી કે દરેક માનવી બીજા સાથે ઊંચા નીચની કમ્પેરીઝન કાયમ અજાણપણે પણ કરતો હોય છે. એટલે સમાજમાં વર્ગભેદ તો કાયમ રહેવાના તે આપણા DNA માં છે. વર્ગભેદ આખી દુનિયામાં છે. પણ મુખ્યત્વે તે અમીર ગરીબના રહેવાના. એમાંય પાછું વધારે અમીર ઓછો અમીર, વધારે ગરીબ, ઓછો ગરીબ વગેરે વગેરે. મુકેશ અંબાણીને ચારપાંચ ફેક્ટરી ધરાવતા કોઈ મુકેશભાઈ ગરીબ લાગવાના ભલે તે આપણી સરખામણીએ પૈસાદાર હોય. મંદિરના ઓટલે બેસેલા ભિખારીને રેલ્વે પ્લેટફોર્મ પર બેસેલો ભિખારી ગરીબ લાગે. સ્કૂલ શિક્ષક આગળ કોલેજના પ્રોફેસરનો વટ ઉંચો રહેવાનો. ટૂંકમાં માનવી માનમોભો ઇચ્છતું પ્રાણી છે તે મનોવૈજ્ઞાનિક સત્ય છે. આપણે કહીએ કે આપણે બધા સરખાં છીએ. એવરીવન ઇઝ ઇક્વલ. એક ઉચ્ચ આદર્શ ગણીએ તો સારી વાત છે.   Equality is an abstraction, and the mammal brain does not process abstractions. આપણા આવા અનેક આદર્શો અમૂર્ત વિચારણા હોય છે. અહિંસા પરમોધર્મ, વસુધૈવ કુટુમ્બકમ અને ઇક્વાલિટી જેવી અનેક અમૂર્ત વિચારણાઓને મેમલ બ્રેઈન પ્રોસેસ કરી શકતું નથી. તેની ભૂખ feel good  પૂરતી હોય છે. સામ્યવાદ એટલે તો આદર્શ તરીકે મહાન હોવા છતાં ફેઈલ ગયો. કારણ કરોડો વર્ષોથી સર્વાઈવલ માટે વિકસેલ આપણા એનિમલ બ્રેનને અનુકુળ નહોતો.

પણ મહત્વની વાત એ છે કે સ્ટેટ્સ મેળવવા માટે મહેનત કરવી પડતી હોય છે, બલિદાન આપવા પડતા હોય છે. પ્રથમ નંબરે આવવાની ઈચ્છા દરેક પ્રાણીના સ્વભાવમાં હોય છે અને તે માટે આખી જીંદગી પ્રયત્ન ચાલતા હોય છે ભલે પ્રથમ અવાય કે નો અવાય. અને તેને માટે પુષ્કળ મહેનત કરવી પડતી હોય છે. પણ આ પ્રથમ આવવાની કે ઊંચું સ્થાન પામવાની પદ-પ્રતિષ્ઠા પામવાની ઈચ્છા કેમ જન્મજાત હોતી હશે? આપણા પૂર્વજોને એમાં ચોપગા પ્રાણીઓને આવી ગયા, પ્રથમ આવ્યા વગર ખાવાનું અને સ્ત્રી મળતી નહોતી. એના માટે બહુ માર પડતો, બહુ મહેનત પડતી. સમૂહનો વડો હોય તે પહેલો ખોરાક ખાઈ લે પછી વધ્યું ઘટ્યું ખાવા દે અને માદા પણ પહેલા તે જ ભોગવી લે. એટલે જુના જમાનાના એલ્ફા શારીરિક બળવાન રહેતા વાઘ સિંહ જેવા પ્રાણીઓની જેમ. ભીમ, દુર્યોધન, જરાસંધ, બળરામ, કૃષ્ણ આ બધા જુઓ એક મુક્કો મારી ભોમાં ભંડારી દે તેવા. ધન, સંપત્તિની મદદ વડે એલ્ફા બનવાનું પછી આવ્યું. કોઈ વિદ્યાના જોરે પણ એલ્ફા બની શકતા. જ્ઞાન, બાહુબળ અને ધન વડે એલ્ફા બનવાનું, સમાજમાં પદ-પ્રતિષ્ઠા, માનમોભો મેળવવાનું મહત્વનું બન્યું. તમારી જોડે જ્ઞાન ના હોય તો બાહુબળ કેળવો તે ના હોય તો ધન સંપત્તિ ભેગી કરો. પણ આ બધા માટે સખત કોમ્પીટીશન હોય. હવે આમાં જેટલી કોમ્પીટીશન ઓછી હોય તેટલું સારું તે સ્વાભાવિક છે કે નહિ? બસ હવે અહિ ભારતના ચાલાક પણ બેઈમાન દિમાગે કામ કરવા માંડ્યું અને શરુ થઈ વર્ણ વ્યવસ્થા.

“આખી દુનિયામાં વર્ગભેદ છે પણ ભારતમાં વર્ણભેદ છે.”

વર્ગભેદમાં એક લવચીકતા હોય છે. એક સમયે ધીરુભાઈ અંબાણી તાતા-બિરલા આગળ ભિખારી જેવા હતા પણ મહેનત કરી વેપાર કરી તાતા-બિરલા કરતા આગળ વધી શક્યા, અને એમનો મુકેશ તો હવે આજે બીલ ગેટ્સની હરોળમાં બેસી ગયો છે. બેપાંચ કલાક માટે બીલ ગેટ્સ કરતા આગળ એક સમયે બેસી શકેલો. એક સ્કૂલ ટીચર પીએચડી કરી કાલે પ્રોફેસર બની શકે છે. એક ક્લાર્ક આઈ.એ.એસ.ની પરીક્ષા આપી એક સમયના એના બોસને આંગળીએ નચાવતો કલેકટર બની શકે છે. એક કોન્સ્ટેબલ આઈ.પી.એસ.ની પરીક્ષા આપી ડીએસપી બની શકે છે. એક ચાવાળો દેશનો વડાપ્રધાન બની શકે છે, અને લાખો ચા વેચતા લોકોમાં ભવિષ્યમાં વડાપ્રધાન બની શકાય તેવી આશા જગાવી શકે છે. વર્ગભેદમાં શક્યતાઓ બહુ હોય છે. વર્ગભેદ ફાયદાકારક છે. તમને ચેલેન્જ આપે છે આગળ વધો. એક માસ્તરને પ્રોફેસર બનવા માટે ઉશ્કેરે છે. ગરીબને અમીર બનવા ઉશ્કેરે છે. આજનો અમીર કાલનો ભિખારી બની શકે છે તો આજનો ભિખારી કાલે અમીર બની શકે છે. પણ પણ અને પણ વર્ણભેદમા બહુ મોટી હરીફાઈનો ખાતમો કરી દેવામાં આવ્યો. એક વિશાલ-વિરાટ વર્ગને તમે શુદ્ર છો જ્ઞાનનો અધિકાર તમને હોય નહિ, યશનો અધિકાર હોય નહિ, ધનનો અધિકાર હોય નહિ કહી બહુ મોટી કોમ્પીટીશન નિવારી દીધી. એક વિરાટ વર્ગને બાંધી દીધો શુદ્ર કહીને કે તમને જ્ઞાન, યશ અને ધનનો અધિકાર નથી. પછી વૈશ્યને બાંધી દીધો કે તને યશ અને જ્ઞાનનો અધિકાર નથી પછી ક્ષત્રિયને બાંધી દીધો કે તને જ્ઞાનનો અધિકાર નથી યશ તું તારે મેળવે રાખ અને મરે રાખ. વર્ણભેદ સમાજને જડ બનાવી દે છે. વર્ગભેદ વહેતી નદી જેવો છે વર્ણભેદ બંધિયાર ખાબોચિયું.

મારા પ્યારા મિત્રો ભલે આજે તમે ફુલાતા હોવ તમારી જાતને વૈશ્ય કે ક્ષત્રિયમાં ગણીને પણ એક સમયે હાલની તમામ ઓબીસીમાં, માંડલ પંચમાં સમાવાયેલી જાતિઓ, કારીગરો, ખેડૂતો, ખેત મજુરો બધા શુદ્ર જ ગણાતા. ભારત સરકારે અમસ્તા માંડલ પંચ રચી અને ઓબીસી વગેરે ભાગ પાડીને અનામત નથી આપી. વર્ણભેદમાં કોઈ ઉપાય જ નહોતો એક શુદ્ર વેદના શ્લોકો બોલવાનું તો ઠીક પણ સાંભળે. ભૂલમાં સાંભળી જાય તો પણ એના કાનમાં ગરમ શીશુ રેડી દેવાતું. રામરાજ્ય પાછું લાવવું હોય તો કેટલું શીશુ ઉકાળી રાખવું પડશે? ગંભીર મજાક કરું છું. હહાહાહા

હવે પાંચ હજાર વર્ષથી જેણે જ્ઞાન મેળવવા દોડે રાખ્યું હોય, જેણે યશ મેળવવા દોડે રાખ્યું હોય, જેણે ધન મેળવવા દોડે રાખ્યું હોય એમને કેટલી બધી પ્રેકટીશ કહેવાય? આ બધું તો DNA માં સમાઈ જાય કે નહિ? એક સત્ય દાખલો આપું. ચીનમાં જુના જમાનામાં સ્ત્રીઓ જન્મે એટલે નાની બાળકી હોય ત્યારથી એને લોખંડના બુટ પહેરાવી દેવાતા જેથી તે ભલે મોટી થાય એનું બાકીનું શરીર મોટું થાય પણ પગનો પંજો મોટો થાય નહિ સાવ નાજુક જ રહે. એના લીધે તે સ્ત્રી સરખું ચાલી પણ શકે નહિ. કોઈ માણસનાં પગ બેડીઓ વડે જકડી દો કદી દોડવા જ ના દો તો એ મોટો થઈને બહુ દોડી ના શકે ભલે બેડીઓ કાઢી નાખો. હવે એવા માણસને તમે કહો કે હવે દેશ આઝાદ થઈ ગયો છે, લોકતંત્ર છે બધાને ઇક્વલ ઓપરટ્યુનીટી તું હવે મિલ્ખાસિંઘ જોડે પણ દોડી શકે છે એમ કહી તેને મિલ્ખાસિંઘ જોડે દોડવા ઊભો કરી દો તો શું થવાનું? મિલ્ખા તો ભાગ મિલ્ખા ભાગ કયાનો ક્યા પહોંચી જાય અને પેલો તો બેચાર ડગલાં દોડી ગબડી પડવાનો. એટલે મિલ્ખાને કહેવું પડે કે તું ભાઈ આરામથી બેસ પેલાને જે કદી દોડ્યો નથી એને બે માઈલ દોડવા દે પછી તું ઊભો થઈ જજે. આ છે ભારતમાં અનામતની જરૂરીયાત. પાંચ હજાર વર્ષથી દોડ્યા જ નથી, મોકો આપ્યો જ નથી એમને જરા દોડવા દો, જરા પ્રેક્ટીશ કરવા દો, જરા એમના પગ છુટા થવા દો પછી ઉભા થાજો તો ય તમે જીતી જશો. ૫૦૦૦ વર્ષથી દોડતા આવેલા મિલ્ખાસિંઘ ૧૦૦ વર્ષ ધીમું દોડીને પેલા કદી નહિ દોડેલાને દોડવા દેશે તો શું ખાટું મોળું થઈ જવાનું છે?

આ વર્ણભેદને વર્ગભેદ સુધી સીમિત રાખ્યો હોત તો કોઈ વાંધો નો આવત. કોઈ શુદ્ર વેદ ભણી બ્રાહ્મણ બની શકત કે કોઈ ક્ષત્રિય વેદ ભણી બ્રાહ્મણ બની શકત. વિશ્વામિત્રે એવો ટ્રાય કરેલો. રાજા હતા, તપ વગેરે કરતા હતા પણ બ્રાહ્મણો એમને રાજર્ષિ કહેતા બ્રહ્મર્ષિ નહોતા કહેતા. એનો બહુ મોટો જગડો હતો. વિશ્વામિત્રને બ્રહ્મર્ષિ કહેવડાવવું હતું પણ કોઈ કહેતું નહોતું એટલે ગુસ્સે થતા અને તે સમયના ઋષિ એલ્ફા વસિષ્ઠ સાથે ઝગડો કરતા. વાર્તા તો એવી છે કે વશિષ્ઠનાં ૧૦૦ પુત્રો એમણે મારી નાખેલા. જોકે વશિષ્ઠને સો પુત્રો હોય અને વિશ્વામિત્ર એને મારી નાખે તે વાર્તા જરા વધુ પડતી લાગે છે.

ભગવાન રામ જોડે શંબુકનો વધ કરાવવાને બદલે “શંબુકને બ્રાહ્મણ ઘોષિત કરી દીધો હોત તે સમયના ઋષિમુનિઓએ તો આજે ભારતનો ઇતિહાસ જુદો હોત.”

ભારત કદી આક્રમણકારીઓ સામે હાર્યું નો હોત. ભારતના વિશાલ મોટા વર્ગને કોઈ ફરક નહોતો પડતો હિંદુ રાજા રાજ કરે, મુસલમાન રાજ કરે કે અંગ્રેજ રાજ કરે. કારણ એમની નિયતિ તો નક્કી જ હતી કોઈ પણ રાજગાદી પર આવે. એમના જન્મના વર્ણનું કારણ બતાવવા પાછળ એક બહુ મોટી મનોવૈજ્ઞાનિક રમત હતી કર્મનો સિદ્ધાંત. તમે જેવા કર્મ કર્યા હશે તેવો જન્મ મળશે. આગલા જન્મે ખરાબ કર્મો કર્યા હશે એટલે શુદ્ર તરીકે જન્મ્યા હવે કોઈ ઉપાય નથી, અ જન્મે સારા કર્મો કરો વર્ણ બદલાઈ જશે. આગલા અને આવતા જન્મના ચક્કરમાં શુદ્રો રાજી હતા. શુદ્રો શું બધા રાજી હતા અને હજુ આજ સુધી છે. અંગ્રેજોએ ૨૦૦ વર્ષ રાજ કર્યું એમાં એક સાથે ભારતમાં એમની ટોટલ વસ્તી ૭૦/૮૦ હજારથી કદી વધુ નહોતી. આ અંગ્રેજોએ જ પહેલીવાર સ્કૂલો શરુ કરી અને એમના ત્યાં વર્ણભેદ નહોતો એટલે બધાને ભણવાનું મળ્યું.

યુરોપમાં વર્ણભેદ નહોતો પણ એના જેવો રંગભેદ ખરો. કારણ રંગ પણ જન્મથી મળે છે બદલાય નહિ. રંગભેદ પણ આફ્રિકાથી ગુલામો લાવ્યા પછી શરુ થયો. યુરોપિયન અમેરિકા આવ્યા ગુલામો સહીત એટલે રંગભેદ સાથે જ આવે તે સ્વાભાવિક છે. પણ યુરોપ અમેરિકા રંગભેદ વહેલી તકે ભૂલવા માંડ્યા. શોષણ તો ત્યાં પણ થયું છે. પણ આપણી જેમ હજારો વર્ષ લગી નહિ. એના ઉપાયમાં રંગભેદના કારણે કોઈ જગ્યાએ ભેદભાવ ના થવો જોઈએ અને સર્વને સમાન તક નોકરી ધંધામાં મળવી જોઈએ તેનું સરકાર ધ્યાન રાખવા માંડી એટલે ભારત જેવી અનામત પદ્ધતિ દાખલ કરવી પડી નહિ. યુરોપ અમેરિકામાં સ્ત્રીઓ, અપંગો, કિન્નરો, સહીત કાળાં/ધોળા જોયા વગર તમામને સરખી તક મળે છે. અપંગો માટે દરેક જગ્યાએ સ્પેશલ ઢાળવાળા ટ્રેક બનાવવા જ પડે છે. ઓછી આવકવાળાને હેલ્થકેર ઈન્સ્યોરન્સ મફત મળે છે. ઓછી આવકવાલાને દર મહીને ફૂડ માટે ફૂડ સ્ટેમ્પ મળે છે. મારા દીકરાની આવક ગમે તેટલી હોય પણ મારી આવક ઓછી હોય તો મને ફૂડ સ્ટેમ્પ ચોક્કસ મળે. હોમલેસ લોકોને રહેવાની સગવડ મળે છે સરકાર તરફથી. અહિ ટેક્ષ ભરવા લોકો સામેથી આતુર હોય છે કારણ દસ વર્ષ ટેક્ષ ભરીને જોબ કરી હોય તો રીટાયર થતાં સરકાર તરફથી અમુક ચોક્કસ રકમ મળે છે. જેથી પોતાનું ગુજરાન ચાલે અને કોઈના પર બોજ ના બનો.

ભારતમાં અનામત પદ્ધતિનું ફરીથી મૂલ્યાંકન કરવું જરૂરી છે. હજુ જોઈએ તેવા લાભ જોઈએ તેને પહોચ્યા નથી. ભારતમાં તકલીફ એ છે કે વર્ણભેદના લીધે જે વિરાટ સમૂહને સામાજિક આર્થીક અન્યાય થયો છે તે વર્ગ ખુદ અંદરોઅંદર વર્ણભેદમાં સપડાયેલો છે. કારણ એણે વર્ણભેદ જ જોયો છે તો પોતાના વર્ગમાં પણ વર્ણભેદ જ કરે ને?

ખાલીસ્તાન ચળવળ, આઝાદીનો અપચો-3

200px-IndiraGandhi-SareeAtTimeOfDeathuntitledખાલીસ્તાન ચળવળ, આઝાદીનો અપચો-3 :- ભૂપેન્દ્રસિંહ રાઓલ, સ્ક્રેન્ટન, પેન્સીલવેનિયા…

ખાલીસ્તાન એટલે એક અલગ શીખોનું રાજ કે દેશ હોવો જોઈએ તેના બીજ આઝાદી પહેલા અકાલીદળ રોપી ચૂક્યું હતું. સંજોગોના જાતજાતના ખાતર-પાણી મળતા તે હવે પાંગરીને છોડ બની ચૂક્યો હતો. આ છોડને નાથવા વધુ મોટો થતો અટકાવવા ઈન્દિરાજી અને તેમના સાથી મિત્રોએ ભીન્દારાનવાલે ને સાથ સહકાર આપી બહુ મોટી ભૂલ કરી હતી. ૧૯૭૭માં જનતા પાર્ટીના સહયોગમાં ગાદીનશીન થયા પછી અકાલીદળ આ છોડને વધુને વધુ ખાતર પાણી આપે તે સ્વાભાવિક હતું. એને કંટ્રોલમાં રાખવા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીની ૧૯૭૯મા થનારી ચુંટણીમાં અકાલીદળનું પ્રભુત્વ ઓછું થાય તેવા માણસો જીતીને આવે તે જરૂરી હતું માટે ઈન્દિરાજી આણી મંડળીએ ભીન્દારણવાલે ને આર્થિક સહયોગ પણ આપ્યો. અહિ પાસા ઊંધા પડ્યા. ભીન્દારાનવાલે પોતે મહાન શીખ લીડર બનવા માંગતો જબરો મહત્વાકાંક્ષા ધરાવતો જુનવાણી તદ્દન ઓર્થોડોક્સ ધાર્મિક લીડર હતો. એને ૧૯૭૮માં એણે ગોલ્ડન ટેમ્પલમાંથી ભડકાઉ ભાષણ કરી ફતવો બહાર પાડી ટોળાને ઉશ્કેરી નિરંકારીઓ પર હિંસક હુમલા કરેલા, નિરંકારી બાબા ગુરુબચનસિંઘનું મર્ડર કરવામાં આવેલું, ત્યાંથી શીખ હિંસક ત્રાસવાદની શરૂઆત થઈ.

ભીન્દારાન્વાલેએ ઓલ ઇન્ડિયા શીખ સ્ટુડન્ટ ફેડરેશન(AISSF) જોડે સાંઠગાંઠ કરી લીધી. આ AISSFની રચના અકાલીદળે આઝાદી પહેલા ૧૯૪૩મા કરેલી અને તે ભાગલા વખતે અલગ શીખ રાજ, પંજાબી સુબા વગેરે લડતમાં અકાલીઓ માટે પાવર સપ્લાય હતું. હવે કહેતા નહિ AISSF ની રચનામાં ઈન્દિરાજી અને કોંગ્રેસનો હાથ છે. અકાલીઓને ધમાલ કરવી હોય ત્યારે AISSF કામ લાગતું. ભાગલા પડ્યા ત્યારે પંજાબનો મોટાભાગનો ઔદ્યોગિક ઝોન પાકિસ્તાનમાં જતો રહેલો. ભારતમાં ખેતીવાડી વાળું પંજાબ બચેલું. અમૃતસર, ગુરુદાસ્પુર અને માજ્હા વિસ્તારના મોટાભાગના મિલીટન્ટ યુવાનો ખેતી કરતા ફેમિલીના હતા. ભીન્દારાન્વાલેએ આવા યુવાનોની લીડરશીપ હાથમાં લઇ લીધી. આ AISSF ને પરદેશમાંથી પણ ખૂબ પૈસા મળતા. ૧૯૮૧મા આ ગ્રુપના ૩ લાખ મેમ્બર હતા એ ઉપરથી તેની સક્રિયતા ખયાલ આવશે.

મીડિયાની ભડવાગીરી ત્યારે પણ ચાલુ હતી. હિંદુ-શીખો વચ્ચે કોમી તણાવ વધતો જતો હતો. આર્યસમાજિ નેતા લાલ જગતનારાયણનું મર્ડર કરવામાં આવ્યું સપ્ટેમ્બર ૧૯૮૧મા અને હિંદુ શીખ વચ્ચે તોફાન થયું અને કેન્દ્ર સરકાર ભડકી. ભીન્દારાનવાલે પર તેનો આરોપ લાગ્યો. અકાલીદળનાં હરચંદસિંઘ લોન્ગોવાલે ભીન્દરાનવાલે સાથે ગઠબંધન કરી કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો તેમાં ૩૦,૦૦૦ લોકોએ ધરપકડ વહોરી, જોકે તરત છોડી મુકવામાં આવેલા. ૧૯૮૨મા એશિયન ગેઈમ દિલ્હીમાં યોજાએલી. પહેલીવાર આવો રમતોત્સવ ઈન્દિરાજી ખેંચી લાવેલા તે સમયે અકાલીદળે શાંતિપૂર્ણ ડેમોન્સ્ટ્રેશન કરશે તેવું જણાવ્યું. પણ સરકાર એવું કરવા દે ખરી? એવું જોખમ લે ખરી? શીખોના મિજાજ જોતા એશિયન ગેઈમ્સની પત્તર ઝીંકાઈ જાય કે નહિ? મ્યુનિક ઓલોમ્પિક જેવો હત્યાકાંડ કરી બીજા દેશો આગળ મોઢું બતાવવા લાયક રહેવા દે ખરા? સરકારે આ વખતે કડક થવું પડ્યું. બસ પછી તો દોર ચાલ્યો પંજાબમાં અવિરત હિંસાનો. હિન્દુઓને જયા જુઓ ત્યાં ઠાર મારો. બસમાંથી ઉતારી સળગાવી દો. રેલ્વે સ્ટેશનો, બસ સ્ટેશનો, માર્કેટમાં જ્યાં સગવડ મળે બોમ્બ ફેંકો, મોટરસાયકલ પર બે જણા આવે અચાનક હત્યાકાંડ કરી જતાં રહે. હિંદુ નેતાઓને મારો, શીખ નેતાઓ અકાલીદળ કે ભીન્દરન્વાલેનાં વિરોધી હોય તો ઠાર મારો. અકાલીદળનાં નેતાઓ સંત જરનૈલસિંઘ આગળ બકરી, શિરોમણી ગૃરુદ્વારા પ્રબંધક કમિટીના સભ્યો પણ તેની આગળ બકરી. એ પોતે હવે ગોલ્ડન ટેમ્પલમાં જ રહેવા લાગ્યો અને ત્યાંથી પંજાબમાં મોતનું તાંડવ ચલાવવા લાગેલો. ૧૯૮૩મા પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું.

અમેરિકા-પાકિસ્તાનનાં આશીર્વાદ, વિદેશી શીખોના ડોલર્સ, પાઉન્ડ, ISIની તાલીમ, વધારામાં ભારતીય આર્મીના રીટાયર ઉસ્તાદો પણ તાલીમ આપતા આ બધું ભેગું મળી શીખ ત્રાસવાદીઓ સફળતાથી હત્યાકાંડ પર હત્યાકાંડ કરે રાખતા હતા. સંત મંદિરમાં બેઠા બેઠા શેતાનને શરમાવતા હતા. એક તો મંદિરમાં પોલીસથી ઘૂસાય નહિ. ચામડાની વસ્તુ ના લઇ જવાય તેવા બહાના. અર્મીથી ઘૂસાય નહિ. ધાર્મિક લાગણી દુભાઈ જાય અને તેવી બદમાશ લાગણીઓ લઇ મંદિરમાં બેઠા બેઠા ત્રાસવાદ ચલાવી શકાય. મંદિર દ્વારે DGP ની લાશ આઠ આઠ કલાક પડી રહી ત્યારે ઇન્દિરાજીને લાગ્યું કે હવે આ નસ્તર પર મોટો ચીરો મુકવો પડશે છરી મુકવી પડશે. એના માટે ભીન્દારાનવાલેને પકડવો પડશે અને તેણે પકડવા મંદિર પર રીતસર એટેક કરવો પડશે.

૧૯૮૨ થી ભીન્દારાનવાલે ગોલ્ડન ટેમ્પલના અંદર આવેલા ગેસ્ટ હાઉસ ગુરુ નાનક નિવાસમાં ૨૦૦ હથિયારબંધ ત્રાસવાદીઓ સાથે રહેવા આવી ગયેલો. તેની સાથે મદદમાં રીટાયર મેજર જનરલ શાબેગસિંઘ પણ હતા. પહેલા તો ઇન્દિરાજીએ લેફ્ટનન્ટ જનરલ એસ. કે. સિન્હા જે હવે પછી આર્મી ચીફ બનવાના હતા તેમને પૂછ્યું પણ એમણે ભારે પગલા લેવા હિમાયત કરી નહિ. બીજા ઉપાય કરવા સૂચવ્યું. ઇન્દિરાજીએ કેટલાક નિર્ણાયક પગલા લીધા, સિન્હા સાહેબનું પત્તું કાપવું પડ્યું, અરુણ શ્રીધર વૈદ્યને આર્મી ચીફ બનાવ્યા, જનરલ સુંદરજીને વાઈસ ચીફ બનાવ્યા, અને ઓપરેશન બ્લ્યુ સ્ટારનો તખ્તો ઘડી કાઢ્યો.

૧ જુને જનરલ સુંદરજી અને કુલદીપસિંઘ બ્રારની આગેવાની હેઠળ ઓપરેશન શરુ થયું. શરૂમાં બીએસએફ અને સીઆરપી એ હલ્લો બોલાવ્યો. બીજી જુને કાશ્મીર, રાજસ્થાન પાકિસ્તાન બોર્ડર સીલ કરી દેવામાં આવી. આર્મીની સાત ડીવીઝનો પંજાબના ગામડાઓમાં ઉતારી દેવાઈ. પ્રેસ મીડિયા પર ટોટલી પ્રતિબંધ, રેલ, રોડ, રસ્તા અને એર સર્વિસ પણ બંધ એન આર આઈ અને બીજા વિદેશીઓ પર પંજાબમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો. જનરલ ગૌરીશંકરને પંજાબ ગવર્નરનાં સલાહકાર નિયુક્ત કરાયા. ત્રીજી જુને આર્મી અને પેરામીલીટરીની દેખરેખમાં પુરૂ પંજાબ કરફ્યુમાં જકડાયું. ચોથી જુને આર્મીએ હુમલો શરુ કર્યો. મેજર જનરલ શાબેગસિંઘ મંદિરમાંથી ડીફેન્સ કરતા હતા જે હવે ખુદ ત્રાસવાદી બનું ચૂકયા હતા તેમને ખાળવામાં આવ્યા. સીઝફાયર કરી SGPC નાં માજી વડા ગુરુચરણસિંઘ તોહરાને ભીન્દરાનવાલે પાસે સમાધાન માટે મંત્રણા કરવા મોકલાયા. પણ તે લીલા તોરણે વિલા મોઢે પાછા આવ્યા. પાંચમી જુને ફરી હુમલો શરુ થયો. બીએસએફ, સીઆરપીએફ, ૧૦ ગાર્ડસ, એક પેરા કમાન્ડો, સ્પેસીઅલ ફ્રન્ટીયર ફોર્સ, ૨૬ મદ્રાસ અને ૯ કુમાઉ બટાલિયન, ૧૨ બિહાર રેજીમેન્ટ, ૯ ગરવાલ રાઈફલ, ૭ ગરવાલ રાઈફલ, ૧૫ કુમાઉ રેજીમેન્ટ આ બધી ટુકડીઓ જનરલ બ્રાર, બ્રિગેડીયર એ. કે. દીવાનની રાહબરી હેઠળ એમના પ્લાન મુજબ મચી પડી હતી. છઠ્ઠી જુને વિજયંત ટેંક બોલાવવી પડેલી ત્યારે દસ તારીખ સુધી પુરો કાબુ આવેલો.

બહુ દુઃખદાયક ઘટનાનું હ્રદયદ્રાવક વર્ણન કરવું નથી. પણ મિત્રો સમજાય છે કેટલી ભયાનક તૈયારીઓ હશે દેશને તોડવાની, દેશમાં કોહરામ મચાવવાની, દેશમાં તબાહી મચાવવાની ત્રાસવાદીઓની? એક મીની યુદ્ધ જ કેન્દ્ર સરકારને પોતાના જ બગડેલા ભાઈઓ વિરુદ્ધ ખેલવું પડ્યું હતું. એક બાપને પોતાના જ બગડેલા બેટાને ઠમઠોરવા કેટલી જહેમત કરવી પડેલી?

૫૦૦ શીખ ત્રાસવાદીઓ માર્યા ગયેલા અને મીલીટરીનાં ૮૩ બહાદુરોએ જાણ ગુમાવેલા અને ૨૩૬ ઘાયલ હતા. બિનસત્તાવાર આંકડો ઘણો મોટો છે. એ જમાનામાં બીબીસીનો માર્ક તુલી રેડીઓ પર બહુ ફેમસ હતો એના કહેવા મુજબ સિવિલિયન શીખોએ અમૃતસર તરફ કુચ કરેલી તેમને રોકવા ટેન્કો સામે ધરવી પડેલી. રાજીવ ગાંધી એકવાર ક્યાંક મીલીટરીનાં ૭૦૦ બહાદુરો માર્યા ગયેલા તેવું બોલી ગયા હતા.

ખેર પરિણામ સ્વરૂપ

૫૦૦૦ શીખ સૈનિકોએ લશ્કરમાં બળવો કરેલો પણ એમને દબાવી દેવા પડે તે સ્વાભાવિક છે. ૩૧ ઓકટોબર ૧૯૮૪ના રોજ પોતાના જ બે કાયર નામર્દ શીખ બોડીગાર્ડ દ્વારા ભારતના એકમાત્ર મર્દ વડાંપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી. પરિણામ સ્વરૂપ શીખો વિરુદ્ધ તોફાનો થયા અને એમાં બેથી ત્રણ હજાર નિર્દોષ શીખો વગર વાંકે માર્યા ગયા. ૧૮૮૫મા એર ઇન્ડિયા ફ્લાઈટ નં-૧૮૨ ત્રણસો યાત્રી સહીત શીખ ત્રાસવાદીઓ દ્વારા ઉડાવી દેવાયું. ઓપરેશન બ્લ્યુ સ્ટાર વખતે જે આર્મી ચીફ હતા તે જનરલ અરુણ શ્રીધર વૈદ્યની પુનામાં ૧૯૮૬મા હત્યા કરવામાં આવી હતી તેના આરોપીઓ હરજીન્દરસિંઘ જિન્દા અને સુખદેવસિંઘ સુખાને ૭ ઓકટોબર ૧૯૯૨મા ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા. સરકાર દ્વારા ગોલ્ડન ટેમ્પલનું સમારકામ કરવામાં આવ્યું.

શીખ ત્રાસવાદીઓ હજુ મંદિરનો ઉપયોગ છુપાઈ જવા કરતા હતા. ૩૦ એપ્રિલ ૧૯૮૬મા ઓપરેશન બ્લેક થંડર-૧ બીએસએફના ૭૦૦ જવાનોએ કરેલું એમાં ૩૦૦ શીખ મિલીટન્ટ પકડાયેલા. ઓપરેશન બ્લેક થંડર-૨, ૯ મે ૧૯૮૮મા કરવામાં આવેલું તે પંજાબ પોલીસ વડા કંવરપાલસિંઘની આગેવાની હેઠળ થયેલું. તે વખતે ૨૦૦ મિલીટન્ટ શરણે થયેલા તે વખતે અજીત દોવલ આઈપીએસ ઓફિસર હતા અને શીખ બની મંદિરમાં ત્રાસવાદીઓ સાથે એમના હમદર્દ બનીને રહેલાં. એમની જાસુસી રંગ લાવેલી. ઓપરેશન વુડરોઝ ૧૯૮૪ થી ૧૯૯૨ સુધી ચાલેલું. પંજાબ ચંદીગઢ ડીસ્ટર્બડ એરિયા એક્ટ ૧૯૮૩ લગાવી આર્મીને બેમર્યાદ સત્તાઓ આપવામાં આવેલી. શીખ મિલિટન્ટ હત્યાઓ કરી શેરડીના ખેતરોમાં સંતાઈ જતાં, ફોર્સ બહારથી હુમલા કરે ફાવે નહિ. ખેતરોમાં જીપ કે બીજા વાહન જાય નહિ. ગીલ સાહેબે આઈડિયા માર્યો. ટ્રેકટર પર બુલેટપ્રૂફ કેબીનો બનાવડાવી, હવે ટ્રેકટર તો આરામથી ખેતરમાં ફરી શકે. હજારો યુવાન શીખ મિલીટન્ટ માર્યા ગયા. બાકીના પાકિસ્તાન ભેગા થઈ ગયા. ગીલ સાહેબને ગુપ્ત ફંડ આપવામાં આવેલું. કોંગ્રેસના મુખ્ય મંત્રી બીયંતસિંઘ અને ગીલ સાહેબની જોડીએ સપાટો બોલાવી દીધો. એમાં જોકે પાછળથી બીયંતસિંઘની એમની કાર બોમ્બ વડે ઉડાવી હત્યા કરી દેવાઈ હતી.

અલગ ખાલિસ્તાનના બીજ અકાલીદળે આઝાદી પહેલા રોપેલા હતા. કોંગ્રેસે એના મુખ્ય મંત્રી અને પ્રાઈમ મિનિસ્ટર બેની જાન ગુમાવી હતી. જે થોડો સમય કોંગ્રેસે ભીન્દારાનવાલેને સાથ આપ્યો તેમાં હેતુ અકાલીદળની ખાલિસ્તાની પ્રવૃત્તિઓ નાથવા પુરતો હતો. એક ખાસ વાત કહું, “ ઓપરેશન બ્લ્યુ સ્ટાર પછી ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા સલાહકારોએ ઇન્દિરાજીને એમના શીખ બોડીગાર્ડ હટાવી લેવાનું સૂચવ્યું હતું, સુરક્ષા સલાહકારોને શીખ સેન્ટિમેન્ટની ખબર હતી, દગો થવાનો સો ટકા સંભવ હતો. પણ ઇન્દિરાજીએ એનો ઇન્કાર કર્યો, આ મર્દ વડાંપ્રધાને કહ્યું હું શીખ બોડીગાર્ડ હટાવી લઉં તો એનો ખોટો મેસેજ મારા દેશ બાંધવોમા જાય કે મને શીખો પ્રત્યે નફરત છે. શીખ પ્રજામાં પણ ખોટો મેસેજ જાય. માટે એમણે ધરાર શીખ બોડીગાર્ડ બદલવાની ના પાડી દીધી.” અને ના થવાનું થયું. શીખ બોડીગાર્ડની ધાર્મિક લાગણીઓ છંછેડી ઉશ્કેરી દેવામાં આવેલા. બોડીગાર્ડ સબ ઇન્સ્પેકટર બિયંતસિંઘ ઇન્દીરાજીનો માનીતો હતો તે દસ વર્ષથી એમની સાથે હતો જ્યારે સતવંતસિંઘ પાંચ મહિના પહેલા આવેલો. બિયંતસિંઘ પહેલી ત્રણ ગોળીઓ રિવોલ્વર વડે મારે છે, ઈન્દિરાજી નીચે પડી ગયા પછી સતવંતસિંઘ સ્ટર્લીંગ સબમશીનગનમાંથી ૩૦ રાઉન્ડ છોડે છે. બિયંતસિંઘને તો ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસના બે જવાનો ત્યાં ઠાર મારે છે અને સતવંત પકડાઈ જાય છે તેને કેહરસિંઘ સાથે ૧૯૮૯માં લટકાવી દેવામાં આવે છે.

જે વડાંપ્રધાન પોતાના શીખ બોડીગાર્ડ હટાવી લેવાની ના પાડે છે અને એમાં શહીદ થાય છે તેમના પર ખાલીસ્તાન બાબતે અનાપશનાપ આક્ષેપો કરતા પહેલા આજના ટુચ્ચા ટુણીયાદ પત્રકારોએ એમની માનસિક સારવાર કરાવી લેવી જોઈએ.

હજુ કેનેડા અને યુકે, યુએસમાં રહેલાં શીખોની પૂંઠમાં ખાલીસ્તાનનો કીડો સળવળે છે. એમને ક્યા જાતે કશું કરવું છે? પૈસા આપી પારકા છોકરાં વધેરવાની વાત છે. હજુ કેનેડા અને યુએસનાં કેટલાક ગુરુદ્વારામાં મહાન ત્રાસવાદી સંત જરનૈલસિંઘનાં શહીદ તરીકેના ફોટા મુકેલા છે. કેનેડાના હાલના વડાપ્રધાન ખાલીસ્તાનનાં ટેકેદાર શીખોમાં ચહિતા બની પાઘડી પહેરી મહાલવામાં ગર્વ અનુભવે છે. હાલની ભારત સરકારે એમના ભારત ખાતેના પ્રવાસ વખતે બહુ ભાવ આપ્યો નહિ તેના પડઘા કેનેડામાં પડ્યા છે. એમનું વધારે પડતું લિબરલીઝમ કેનેડાના અમુક નાગરિકોને પણ ગમતું નથી. તેવા લોકો એમને સ્ત્રૈણ, ટ્રાની જેવા વિશેષણો વડે નવાઝે છે પણ આપણે એવું ના કહીએ, આપણા તે સંસ્કાર નથી.

અગાઉના બે ભાગ વાંચી મિત્રોએ ખૂબ સારા પ્રતિભાવ પાઠવ્યા છે તે બદલ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મારો પ્રયાસ ખાલી હકીકતો ઉજાગર કરવાનો હોય છે. ઓપરેશન બ્લ્યુ સ્ટાર વખતે અમે દિલધડક રેડીઓ ઉપર બેસી રહેતા હતા સમાચાર જાણવા.

untitled

ખાલીસ્તાન ચળવળ, આઝાદીનો અપચો-૨

ખાલીસ્તાન ચળવળ, આઝાદીનો અપચો-૨ :- ભૂપેન્દ્રસિંહ રાઓલ, સ્ક્રેન્ટન, પેન્સીલવેનિયા…

ભારતમાં સરેરાશ દોઢ કરોડ શીખો હશે. એમાંના મોટાભાગના લગભગ પંજાબમાં ૬૧ ટકા બીજા નંબરની બહુમતિ હિંદુઓ સાથે રહે છે. આઝાદી પછી પંજાબ સંકોડાતું રહ્યું છે. ભાષા પ્રમાણે આલગ રાજ્યો બનવા લાગ્યા એમ પંજાબના પણ ભાગ થઈ થઈને નાનું બનતું ગયું. ગુજરાત પહેલા મુંબઈ રાજ્ય સાથે સંલગ્ન હતું. બૃહદ મુંબઈ રાજ્ય કહેવાતું જેના મુખ્યમંત્રી મોરારજી દેસાઈ રહી ચુકેલા હતા. એ મોટા મુંબઈ રાજ્યમાંથી ગુજરાત માટે અલગ ગુજરાતની માંગ કરવામાં આવી ત્યારે મોરારજી કહેતા મારી લાશ પરથી ગુજરાત લેજો. ઇન્દુચાચા મતલબ ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ મહાગુજરાતની લડાઈ ચાલેલી. ઇન્દુચાચા સામે જવાહરલાલ નહેરુ ચૂંટણીમાં ઉભા રહે તો પણ હારી જાય એવું કહેવાતું. છેવટે ૧૯૬૦માં ગુજરાતી ભાષા પ્રમાણે ગુજરાત અલગ રાજ્ય બન્યું. આબુ ગયું રાજસ્થાનમાં એનું સાટું વાળવા મોરારજીએ ડાંગ જિલ્લો બનાવી સાપુતારાના સુંદર ડુંગરો ગુજરાતને અપાવ્યા. લાશ પરથી ગુજરાત લેજો વાત મોરારજી ભૂલી ગયા, પણ ઘર એમનું મુંબઈમાં રહ્યું કાયમ માટે.

પંજાબમાંથી પણ ટુકડા થવા લાગેલા. હિન્દીભાષી એક ટુકડો હરિયાણા બન્યો તો ઉત્તરમાં રહેલો અમુક પહાડી પ્રદેશ ભેગો થઈને હિમાચલ પ્રદેશ બન્યો. આજે પણ રાજસ્થાન, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં શીખોની સારી એવી વસ્તી છે. એક સમયે પાકિસ્તાનના ખાસા બધા પ્રાંત, ઉત્તરમાં છેક કાશ્મીર સુધી ને નીચે રાજસ્થાન સુધી શીખ સામ્રાજ્યનો પરછમ લહેરાતો હતો તે નાનું ને નાનું બનતું જાય છે. કેન્દ્ર સરકારની સત્તામાં કાપ અને રાજ્ય સરકાર પાસે વધુ સત્તા મતલબ પાવરની માંગ સાથે શીખોનાં અલગ રાજ્યની માંગણી શરુ થઈ એમાં આર્યસમાજી હિંદુઓ સાથેનો ધાર્મિક, સૈદ્ધાંતિક સામાજિક વિખવાદનો પણ મહત્વનો ભાગ હતો. બધા શીખો ભારત વિરોધી નહોતા અને છે પણ નહિ અને હોય પણ નહિ. ગુજરાતીઓએ એમની આગવી આઇડેન્ટિટી માટે મહાગુજરાતની ચળવળ ચલાવી અને અલગ ગુજરાત માંગ્યું અને મળ્યું એમાં ભારત વિરોધ ક્યા હતો? બસ શીખોનું પણ એવું જ હતું.

૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનનો પરાજય અને બાંગ્લાદેશ રૂપી પૂર્વ પાકિસ્તાન છુટું પડી ગયું તે પરાજયનો અપરાધબોધ પાકિસ્તાનને બરોબર પીડતો હતો. આ તેજોવધ ભૂલાય તેવો નહોતો. તો તે યુદ્ધ સમયે પાકિસ્તાનની મદદે પોતાનો સાતમો નૌકા કાફલો રવાના કરવાના ઓર્ડરને સ્થગિત કરવો પડ્યો તે તેજોવધ અમેરિકાના પ્રમુખ નીક્શન પણ ભૂલે તેમ નહોતા. લોખંડી વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ યુદ્ધ વખતે રશિયા ભારત પડખે રહે તેવા લશ્કરી કરાર કરીને અમેરિકન પ્રમુખને જબરી શિકસ્ત આપી હતી. ૧૯૭૧ના યુદ્ધ વખતે અમેરિકા પાકિસ્તાનને મદદ કરે તો રશિયા ભારતના પડખે તરત ચડે. એ પરાજયનો બદલો ગમે તે રીતે વાળ્યા કરવો તે પાકિસ્તાનની મકસદ હતી. ગામ હોય ત્યાં ઉકરડો તો હોવાનો જ. એટલે થોડા અલગાવવાદી શીખો શોધી તેમને અલગ ખાલીસ્તાન નામનો દેશ બનાવવાના અને તેમાં રાજ કરવાના રંગીન સપના બતાવવામાં પાકિસ્તાન અમેરિકાને બહુ વાર લાગે નહિ.

પંજાબ પ્રાંત સદીઓ સુધી હિંદુ રાજાઓના હાથ નીચે રહ્યો, ૫૦૦ વર્ષ મુસ્લિમ શાસકોના હાથ નીચે અને બહુ ટૂંકા સમય માટે મહારાજા રણજીતસિંહ(૧૭૭૯-૧૮૩૯) નીચે રહ્યો. લાહોર એમની રાજધાની હતી. મહારાજા રણજીતસિંહ છેક ઈરાન સુધી આંટો મારી આવેલા અને નાદીરશાહની લુંટનો બદલો વાળી આવેલા. કોહીનુર હીરો તે ઈરાનથી પાછો લઇ આવેલા. કોઇથી નહિ હારનારા અને ડરનારા અફઘાનીઓના પાયજામાં મહારાજા રણજીતસિંહ અને એમના સેનાપતિ હરિસંહનું નામ સાંભળી પલળી જતાં. પેલા પ્રખ્યાત ગીત મેરે દેશ કી ધરતી સોના ઉગલેમાં રંગ હરા હરિસિંહ નલવેસે ગવાય છે તે આ હરિસિંહ મહારાજા રણજીતસિંહનાં સેનાપતિ હતા. ૧૯૩૯મા મહારાજા રણજીતસિંહનું અવસાન થયું પછી એમના વારસદારો સાવ નબળા અને કાવાદાવામાં ભરપુર હતા. અંગ્રેજો સાથે બે યુદ્ધ થયા પછી ૨૯ માર્ચ ૧૮૪૯મા શીખ સામ્રાજ્યનું પતન થયું. પંજાબમાં કોલોનિયલ એરા વખતે પશ્ચિમમાં શીખોને મુસ્લિમ બહુમતિ સાથે રહેવાનું આવ્યું, પૂર્વમાં હિંદુ બહુમતિ સાથે અને મધ્યમાં એમની બહુમતિ રહી. બ્રિટીશ રાજ વખતે શીખો લશ્કરમાં ભરતી થવામાં અવ્વલ રહેવા માંડ્યા. પહેલા વિશ્વયુદ્ધ વખતે ભારતના બ્રિટીશ લશ્કરમાં ત્રીજા ભાગના શીખો હતા. મૂળે શીખ ધર્મ હિંદુ ધર્મમાંથી વિકસેલો હતો એટલે હિંદુઓ સાથે વિખવાદનો કોઈ જુનો ઈતિહાસ હતો નહિ ઉલટાનું મુસ્લિમો સાથે સુમેળ ઓછો હોય તે સ્વાભાવિક હતું.

અત્યારે આપણે પાઘડીધારી, દાઢીધારી, હાથમાં કડા પહેરેલા કરડા શીખો જોઈએ છીએ તે શું પહેલેથી એવા હતા? નાં જરાય એવા નહોતા. ૧૪૬૯મા ગુરુ નાનકે પંથ સ્થાપ્યો ત્યારે શીખો મોટા ભાગે નીચલા માધ્યમ વર્ગના ખાસ તો વેપારી, ખેડૂતો ને મોટાભાગે જાટ કોમમાંથી વધુ આવેલા હતા. ૨૦૦ વર્ષ પછી છેલ્લા ગુરુ ગોવિંદસિંહે શીખ પ્રજામાં આમૂલ પરિવર્તન લાવી દીધું. ખાલસા પંથની સ્થાપના કરી, ગુરુ પ્રથા બંધ કરી, પાંચ ‘ક’ ધારણ કરવાના, કેશ, કિરપાણ, કંગ, કછ, અને હાથે કડું.. નામની પાછળ સિંહ લગાવવાનું ગુરુએ શરુ કરાવ્યું. ગુરુ ગોવિંદસિંહનું ખુદનું નામ ગોવિંદરાય હતું. એક સીધીસાદી કોમને લડાયક બનાવી દેવામાં એક મહાન ગુરુનો હાથ હતો. અને કોઈ લડાયક કોમને બાયલી બનાવવી હોય તો પણ મહાન ગુરુઓ કરી શકે.

૧૯મી સદીના અંત ભાગમાં હિંદુ અને શીખ ધર્મમાં પુનરુત્થાન સમય શરુ થયો ને બે કોમ વચ્ચે વિરોધની લાઈન વધુ શાર્પ થવા લાગી. એક બાજુ આર્યસમાજનું જોર વધવા માંડ્યું તો બીજી બાજુ સિંઘસભા મુવમેન્ટ શરુ થઈ. ૧૯૨૦મા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીની રચના ઓર્થોડોક્સ શીખો દ્વારા થઈ તો ૧૯૨૫મા અંગ્રેજોએ Sikh Gurudwaras and Shrines Act of 1925 બનાવી તમામ ગુરુદ્વારા અને પવિત્ર સ્થળોનો વહીવટ SGPC ને સોપી દીધો. એમાં ચુંટણી થતી પણ અકાલીદળનો કંટ્રોલ રહેતો. અકાલીદળ હવે મહત્વની રાજકીય પાર્ટી બની ચુકી હતી. અકાલીદળ એકલા શીખો નહિ પણ બધા પંજાબીઓનું પ્રતિનિધિત્વ કરે છે તેવો ટ્રાય SGPC પણ કરતું. પરંતુ આ બધાને કોઈ સેપરેટ રાજ્ય નહિ પણ સેપરેટ ઓળખ જોઈતી હતી. સેપરેટ પ્રતિનિધત્વ જોઈતું હતું. ૧૯૨૧મા શીખો માટે અલગ મતદારમંડળ અંગ્રેજોએ પાસ કરી દીધું હતું.

‘આપણે ભાગલા પાડો રાજ કરો’, અંગ્રેજોની નીતિ કહીએ છીએ પણ અંગ્રેજો એ શીખ્યા ક્યાંથી? બ્રિટીશ રાજમાં સૂર્ય કદી આથમતો નહોતો. આખી દુનિયામાં ઠેર ઠેર બ્રિટીશ રાજ કરતા હતા. કદી સાંભળ્યું એના કોઈ જનરલે કે વાઇસરોય બળવો કરી સ્વતંત્ર રાજ પચાવી બેસી ગયા હોય? હજુ ય ભલે સ્વતંત્ર હોય પણ ઓસ્ટ્રેલીયા અને કેનેડા બ્રિટીશ રાજ કહેવાય. આપણે તો રાજા નબળો પડે તેની રાહ જોતા હોય તેના સેનાપતિઓ અને સૂબાઓ, તરત પોતાને સ્વતંત્ર રાજા ઘોષિત કરી દે. શિવાજીના વારસદાર નબળા પડ્યા તો પેશ્વા રાજા બની બેઠા ને પેશ્વા નબળા પડ્યા તો એમના સેનાપતિઓ સિંધિયા, હોલકર અને ગાયકવાડ મહારાજાઓ બની બેઠા કોઈ પેશ્વા કે છત્રપતિને વફાદાર રહ્યું? આ દેશમાં બધાને રાજાની પદવી જોઈતી હોય તો અંગ્રેજ જ ફાવે ને? ભાગલા પાડો આપણી પોતાની માનસિકતા જ છે અને રાજ કરો તે અંગ્રેજોની માનસિકતા છે.

જિન્નાહને મુસ્લિમ રાજ જોઈતું હતું તો કોંગ્રેસને હિંદુ બહુમતવાળું સેક્યુલર રાજ જોઈતું હતું એમાં શીખો વચમાં સપડાઈ ગયા, એમનું શું? એમણે આઝાદ પંજાબની વિભાવના ઉભી કરી તે પણ અલગ શીખ રાજ્ય તરીકે નહિ પણ કોઈ કોમનું પ્રભુત્વ નહિ, ૪૦ ટકા હિંદુ, ૪૦ ટકા મુસ્લિમ હોય, ૨૦ ટકા શીખ હોય. પંજાબી કલ્ચરનું પ્રભુત્વ હોય બસ. બ્રિટીશને તે અવ્યવહારુ લાગ્યું અને ભારતના નેતાઓએ તે પ્લાન રીજેક્ટ કર્યો. અકાલી દળે શીખ ઈકોનોમી, ધર્મ, અને સાંસ્કૃતિક હકનાં રક્ષણ માટે માર્ચ ૧૯૪૬માં અલગ શીખ રાષ્ટ્રની જાહેરાત કરેલી પણ કોંગ્રેસના નેતાઓએ સ્વતંત્ર ભારતમાં શીખોને સ્પેશલ દરજ્જો મળશે તેવું વચન આપ્યા પછી તે માંગણી પડતી મુકેલી. આમ અકાલીદલની અલગ શીખ રાષ્ટ્રની માંગણી આઝાદી વખતની ૧૯૪૬ થી આઝાદી પહેલાથી જ હતી. આમાં ઇન્દીરાજીનો કોઈ હાથ નહોતો કે જ્ઞાની જૈલસિંહનો કોઈ હાથ નહોતો. આઝાદી પહેલા આ લોકોનું રાજકારણમાં શું વજૂદ હતું? ભાગલા પડ્યા પછી પાકિસ્તાનમાં રહેલાં શીખો પણ પંજાબમાં આવી ગયા. જુદે જુદે ફેલાયેલી લઘુમતી કરતા હવે ભૌગોલિક રીતે નાના એરિયામાં એમની બહુમતિ થઈ. હવે તેઓ એમની ભાષા, કલ્ચર, ધર્મ, રીતિરિવાજને વધુ સારી રીતે સંભાળી શકે એવા થયા એટલે પંજાબ શીખો માટે પવિત્ર હોમલેન્ડની વિભાવના જે કાલ્પનિક વધુ હતી તે વાસ્તવિક પ્રોજેક્ટ તરીકે વધુ નજર આવવા માંડ્યો.

ભાગલા પછી ભાષાનો પ્રશ્ન મહત્વનો ભાગ ભજવવા માંડેલો. ગાંધીજીની સલાહથી હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો મળ્યો, ઉર્દૂને પછડાટ મળી એમાં. મોટાભાગની પ્રાંતીય ભાષાઓને બંધારણમાં કાયદેસરની ગણવામાં આવી. ઉત્તર ભારતમાં મોટોભાગે લોકો હિન્દી બોલતા એટલે તેને ઓફિસિયલ લેન્ગવેજનો દરજ્જો મળ્યો તો અંગ્રેજી સરકારી કામકાજમાં વપરાતી. પંજાબી, ઉર્દુ અને સિંધીને સ્વતંત્ર ભારતમાં એટલું મહત્વ મળ્યું નહિ. પંદરમી સદીમાં શરુ થયેલ શીખ સમુદાય એક ધાર્મિક ઉપાસકમંડળમાંથી અઢારમી સદીમાં એથનિક કોમ્યુનીટીમાં રૂપાંતરિત થઈ છેક લેટ વીસમી સદીમાં શીખ રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યો. ખેતી આ દેશની જીવાદોરી છે. પણ દરેક સરકારો ખેતી પ્રત્યે દુર્લક્ષ સેવતી હોય છે. ભાખરા નાંગલ બંધને લીધે પંજાબ, હરિયાણા લીલાછમ ભલે બન્યા પણ ખેડૂતોને બહુ નફો મળતો હોતો નથી. પંજાબની રાજ્ય સરકારો ખેતીને મહત્વ આપતી તો કેન્દ્ર સરકારો ઉદ્યોગોને. પંજાબ હરિયાણા વચ્ચે પાણીની વહેચણી માટે પણ ડખા થતા. મૂળે અકાલીદળની રાજકીય મહત્વાકાંક્ષા અતિશય હતી. અકાલીદળને ધીમે ધીમે સ્વતંત્ર શીખ રાષ્ટ્ર તરફ ધસવું હતું. ૧૯૫૫મા પંજાબી સુબા નામનું જબરદસ્ત કેમ્પેન ચલાવેલું તેમાં ૨૬૦૦૦ શીખોની ધરપકડ કરવામાં આવેલી. ૧૯૬૦-૬૧મા કેન્દ્ર સરકાર સાથે સમાધાન માટે વાટાઘાટોનાં પરિણામે પાર્ટીનું સંચાલન માસ્ટર તારાસિંહનાં હાથમાંથી સંત ફતેહસિંહનાં હાથમાં આવ્યું. પછી પંજાબી સ્પિકિંગ સ્ટેટની માંગણી આવી, પછી ૫૬ ટકા શીખ બહુમતીવાળા રાજ્યની માંગણી આવી. જવાહરલાલ નહેરુના અવસાન પછી ૫૪ ટકા શીખો અને ૪૪ ટકા હિંદુ બહુમતિ વાળું પંજાબ બનાવવામાં આવ્યું અને હરિયાણા, હિમાચલ અલગ થયા.

અકાલીઓ તેમ છતાં પોતાની સરકાર બનાવી શકતા નહોતા. કારણ શીખોનાં મત ખુદ અકાલીદળ, કોંગ્રેસ અને સામ્યવાદી પાર્ટી વચ્ચે વહેચાયેલા હતા. છેવટે એમને ચાન્સ મળી ગયો. ઈન્દિરાજી ઈમરજન્સી પછી ઉથલી પડ્યા અને જનતાપાર્ટીનાં સહયોગ વડે અકાલીઓએ ૧૯૭૭મા સરકાર બનાવી. તે પહેલા ૧૯૭૩મા આનંદપુર સાહેબ ઠરાવ રજુ કરવામાં આવ્યો હતો, એમાં શીખોને વધુને વધુ સ્વાયત્તા મળે તેવા મુસદ્દા ઘડવામાં આવેલા. ચંદીગઢ હરિયાણા પંજાબ બંનેની રાજધાની હતી તેને બદલે ખાલી પંજાબને આપી દેવામાં આવે, શીખોની બહુમતિ હોય આસપાસના રાજ્યોમાં તેવા એરિયા ફરી પાછા પંજાબમાં સમાવી નવી બોર્ડર બનાવવી, આખા ભારતના ગુરુદ્વારા SGPC અન્ડર કરવા, પંજાબ બહાર જે શીખો રહેતા હોય તેમણે લઘુમતી તરીકે વિશિષ્ટ હક આપવા વગેરે વગેરે.

ટૂંકમાં ગુપ્ત રીતે પાકિસ્તાનની દોરવણી હેઠળ જાતજાતના બહાના કાઢી અલગ પંજાબ અલગ રાષ્ટ્ર માટે શીખોના મગજ ફેરવી નાખવા અને રાજકીય રોટલા શેકવા તે અકાલીદળની ચાલબાજી રહેતી. આનંદપુર સાહેબ ઠરાવને ધર્મયુદ્ધ તરીકે ૧૯૮૧મા જાહેર કરવામાં આવ્યો અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ બીજી ૪૫ માંગણીઓ કેન્દ્ર સરકાર આગળ રજુ કરી દીધી અને Sikhs are nation નામનું સૂત્ર આપ્યું. એમાં નદીઓના પાણીની વહેચણી અને શીખ પર્સનલ લો પણ આવી જાય. શીખ એઝ એ સેપરેટ નેશન, અમૃતસર પવિત્ર શહેર અને ખાલીસ્તાન સ્લોગન હવે હિન્દુઓને પણ કઠવા લાગે તે સ્વાભાવિક છે.

૧૯૭૭મા અકાલીદળનું જનતા પાર્ટી સાથે ગઠબંધન અને SGPC પર પુરો કાબુ, હવે એમને નાથવા ઇન્દિરાજીએ એક બહુ મોટી ભૂલ કરી જે સ્વાભાવિક રાજકારણમાં નેતાઓ કરતા જ હોય છે તે હતી સંત જરનૈલસિંઘ ભીન્દારાનવાલેને હંગામી સપોર્ટ. ભીન્દારાનવાલે એક સામાન્ય પ્રિચર ધાર્મિક પ્રચારક, કથાકાર જેવો હતો જેના નામ આગળ સંત લાગતું. તે પણ બહુ મોટી માયા નીકળ્યો શરૂમાં કોંગ્રેસનો સાથ લીધો રાજકીય આર્થીક મદદ લઇ તરત અકાલીઓના ખોળામાં બેસી ગયો અને ત્યાં એમનું પણ શોષણ કરવા માંડ્યો. ધીમે ધીમે એના ભય અને આતંક આગળ અકાલીદળ અને SGPC ઘૂંટણીએ પડી ગયા. આમ ખાલીસ્તાન અલગ શીખોનો દેશ ચળવળના મૂળ ઊંડા અને જુના હતા અને કારણો અનેક હશે.

મિત્રો વધુ રસપ્રદ ભાગ પછીના અંકમાં જોઈશું..

 

ખાલીસ્તાન ચળવળ, આઝાદીનો અપચો-૧

untitledthNT6D1Z14ખાલીસ્તાન ચળવળ, આઝાદીનો અપચો-૧

હમણાં કેનેડાના વડાપ્રધાન ભારતની મુલાકાતે આવ્યા ત્યારે એમનું પ્રોટોકોલ મુજબ સ્વાગત થયું પણ જે બીજા દેશોના વડાઓ માટે દોટો મુકાય છે સ્વાગત વખતે તેવી મુકાઈ નહિ એટલે આ સ્વાગત સ્વાભાવિક હતું છતાં પેલા અસ્વાભાવિક સ્વાગતોની અતિને લીધે આ સ્વાભાવિક સ્વાગત અસ્વાભાવિક લાગે તેમાં કોઈ નવાઈ નહિ. એક રીતે બીજા દેશના વડાઓને બહુ લટુડા પટુડા કરવા જઈએ અને બહુ વધુ પડતી નાટકીય ઉષ્મા દેખાડીએ એમાં આપણે નબળા દેખાઈએ, નબળા છીએ એટલે પૂછડી પટપટાવીએ છીએ એવું છતું થાય છે એટલી સાદી વાત આ બુદ્ધિસાગર નેતાઓને સમજાતી નથી. એટલે આ નોર્મલ જે થતું હોય તે સ્વાભાવિક સ્વાગત કેનેડાના વડાપ્રધાનનું થયું તે એક રીતે સારું કહેવાય. બધા વડાઓનું એવું જ કરવું જોઈએ. તો એમને પણ ભાન થાય કે આપણે સાવ નબળા નથી. તો આપણા આદરણીય વડાપ્રધાને આ વખતે એમની દોટો પડતી મૂકી નોર્મલ સ્વાગત કેમ કર્યું? અને એનો ફેર પણ રાજકીય રીતે ચોક્કસ પડ્યો છે એટલે આવું પગલું આવકારદાયક કહેવાય.

એનું મૂળ કારણ એ છે કે મિત્રો જાણતા જ હશે કે ભારતમાં એક સમયે ખાસ તો ૧૯૭૧ના યુદ્ધ પછી કેટલાક અલગાવવાદી શીખોની અલગ ખાલીસ્તાન માંગ માટેની ચળવળ ખૂબ જોરમાં ચાલેલી. આ અલગ ખાલિસ્તાનની ચળ દેશમાં રહેતા શીખો કરતા કેનેડા, યુ કે, યુએસએ જેવા વિદેશોમાં વસતા શીખોની પૂંઠમાં વધુ આવતી હતી. હવે અત્યારે દેશમાં રહેતા અલગાવવાદી શીખોની પૂંઠ તો સાફ થઈ ગઈ છે લગભગ પણ હજુ ય કેનેડામાં વસતા શીખોની એ ચળ હજુ ભાંગી નથી. મારી ભત્રીજી કેનેડા રહે છે. એટલે ઘણી બધી વાતો જાણવા મળી જાય છે. કેનેડાના અમુક ગુરુદ્વારાઓમાં શીખ ત્રાસવાદી સંત જરનૈલસિંહ ભીન્દરન્વાલેનાં ફોટા મૂકેલા છે, કે જેના લીધે દુખદ એવું ઓપરેશન બ્લ્યુ સ્ટાર નાછૂટકે કરવું પડેલું. કેનેડામાં વસતા મોટાભાગના શીખોને અલગ ખાલીસ્તાનની ખંજવાળ ચાલું જ છે અને એ ખંજવાળને હાલના કેનેડાના વડાપ્રધાન બળતણ પૂરું પાડે છે તેના પુરાવા પાકે પાયે છે માટે આપણા વડાપ્રધાને એમને પાઠ ભણાવવા એમનું સ્વાગત નોર્મલ પ્રોટોકોલ પ્રમાણે કર્યું જે અસ્વાભાવિક લાગ્યું. આવો પાઠ બીજાઓને ભણાવવાનું વચન પ્રજાને આપ્યા પછી એ વચન નિભાવ્યું નથી તે પણ હકીકત છે.

નવી પેઢીને ખાલીસ્તાન ચળવળ શું હતી તે બહુ ખબર હોય નહિ. અને હવે તો વિકિપીડિયામાં પણ ખોટી માહિતી છપાવા માંડી છે. અને પત્રકારો એમનો પત્રકારિત્વનો ધર્મ ભૂલવા માંડ્યા છે ત્યારે અમારે મફતમાં કલમ ઉપાડવી પડે છે.

આ અલગ ખાલિસ્તાન માટેની ચળવળ શું હતી કે છે?

૩૦ સપ્ટેમ્બર ૧૯૮૧ની વહેલી સવારે જમ્મુથી દિલ્હી જવા ઉપડેલું ૧૧૧ મુસાફરો સાથેનું એક વિમાન લાહોર તરફ ધસી રહ્યું હતું વગર પરમિશને… થોડીવારમાં લાહોર એરપોર્ટ પર લેન્ડ પણ થયું, કહેવામાં આવ્યું કે પાંચ શીખોએ તેને હાઈજેક કર્યું છે. આ પાંચે ઉગ્રવાદી શીખો, અલગ ખાલીસ્તાન નામનો પ્રદેશ ભારત દેશમાં જોઈતો હતો તેની જે ચળવળ ચાલતી હતી તેના સક્રિય સભ્યો હતા. ભારત સરકારે જે એમના સાથીઓને જેલમાં નાખેલા તેમને આ બહાને છોડાવવા હતા. ખેર પાકિસ્તાન સરકાર તરત રેપીડ એકશનમાં આવી ગઈ. પાકિસ્તાન આર્મીના સ્પેશલ સર્વિસ ગ્રુપના કમાન્ડો સફાઈ કામદારો રૂપે વિમાનમાં ધસી ગયા અને કિરપાણ ધારી પાંચે શીખોને ઝબ્બે કરી મુસાફરોને છોડાવી લીધા. આ પાંચ ઉગ્રવાદીઓ હતા, તેજીન્દરસિંઘ, સતનામ, ગજેન્દરસિંઘ, કરણસિંઘ કીની, જસ્મીરસિંઘ જિમા… ભારત સરકારે પાકિસ્તાન સરકારનો આભાર માન્યો.

ખાલીસ્તાન માટેની ચળવળ શરુ થઈ ત્યારથી ભારત સરકાર એમાં પાકિસ્તાનનો હાથ છે તેવું કહેતું આવ્યું છે. શીખ અલગાવવાદીઓને પાકિસ્તાનનું પીઠબળ છે તેવો આક્ષેપ કાયમ ભારત કરતું. પાકિસ્તાનમાં શીખોના ઘણા બધા ધાર્મિક સ્થળો, ગુરુદ્વારા અને સમાધિઓ છે. દર વર્ષે ભારતમાંથી સેંકડો શીખો તેની મુલાકાત લેતા જ હોય છે તે સ્વાભાવિક છે પણ ખાલીસ્તાન મુવમેન્ટ શરુ કરનારા ધિલ્લોન, ગજેન્દરસિંઘ અને જગજીતસિંઘ એવા ધાર્મિક સ્થળોની મુલાકાતના બહાને પાકિસ્તાનના નેતાઓને પણ મળતા હતા. ૧૯૭૭ના માર્શલ લો પછી જનરલ ઝીલા ઉલ હક, શીખ યાત્રાળુઓની બહુ સારી પરોણાગત કરતા હતા. આ શીખ યાત્રાળુઓ સાથે પ્રમુખના નિવાસ સ્થાને મીટીંગો કરતા અને વળાવતી વખતે એમના હાથમાં થોડી પત્રિકાઓ પકડાવતા. એમનો આ વહેવાર ભારત સરકારને ગમતો નહોતો. ઓપરેશન બ્લ્યુ સ્ટાર પછી ધિલ્લોનને ભારતમાં પ્રવેશબંધી હતી. તે અમેરિકન નાગરિક બની ગયો હતો અને અવારનવાર પાકિસ્તાનની મુલાકાત લેતો અને તેના પાકિસ્તાન નિવાસ દરમ્યાન ત્યાના નેતાઓની પરોણાગત માણ્યા કરતો તેને ભારત વિરોધી કૃત્ય ગણવામાં આવતું હતું. ખાલીસ્તાન ચળવળ પુરજોશમાં ચાલતી હતી ત્યારે ભારત સરકારનો દાવો હતો કે શીખ ઉગ્રવાદીઓને પાકિસ્તાન ટ્રેનીગ સાથે હથિયારો પણ પુરા પાડે છે, આર્થીક સહાય પણ કરે છે.

Kwantlen University Canada ના ડૉ શીન્દર પુરેવાલે ખાલીસ્તાન મુવમેન્ટ વિષે એક રીસર્ચ પેપર લખેલું, એમાં તેઓ લખે છે શીખ મુવમેન્ટ ૧૯૬૦મા શરુ થઈ ત્યારે એની વિભાવના હોમરુલ મુવમેન્ટ પુરતી હતી પછી ૧૯૭૮થી એમાં ત્રાસવાદ ઉમેરાણો અલગ ખાલીસ્તાન માંગણી સાથે, ૧૯૯૪ થી અત્યાર સુધી દુઃખ અને ફરિયાદનું રાજકારણ.

ખાલીસ્તાન પ્રશ્નમાં ભારત પાકિસ્તાનને ઢસડતું રહ્યું અને પાકિસ્તાન તેને નકારતું રહ્યું. મુખ્ય શીખ સંગઠનો જેવા કે ઓલ ઇન્ડિયા શીખ સ્ટુડન્ટ ફેડરેશન, બબ્બર ખાલસા, વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશન, ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન, આ બધા યુકે, યુએસએ, કેનેડા અને બીજા દેશોમાં વસેલાં ધનાઢ્ય શીખો પાસેથી આર્થીક મદદ મેળવતા હતા. ૨૦૦૭મા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ(PTI) એક રીપોર્ટ બહાર પાડેલો. એમાં જણાવ્યા મુજબ ખાલીસ્તાન મુવમેન્ટમાં યુએસ સરકારનો પણ હાથ હતો. એમાં કહ્યા મુજબ ૧૯૭૧માં રીચાર્ડ નીક્શને જનરલ યાહ્યાખાનને ભારતીય પંજાબમાં અલગાવવાદી મુવમેન્ટને બળ આપવા કોવર્ટ એક્શન પ્લાન અમલમાં મુકવા જણાવેલું. પીટીઆઈના આ રીપોર્ટમાં ભારતની RAW ના ઓફિસર બી. રમણનાં પુસ્તક ‘The Kaoboys of R&W માં રહેલી માહિતીનો ઉપયોગ કરાયો છે. રીચાર્ડ નીક્શનનાં હસ્તક્ષેપ પછી જગજીતસિંઘ ચૌહાણ યુકે જઈ હોમરુલ ચળવળને ખાલીસ્તાન નામ આપી પાકિસ્તાનના જનરલ યાહ્યાખાનને મળવા જાય છે, યાહ્યાખાન તેમને કોઈ પવિત્ર વસ્તુ માદળિયાં જેવું હશે, આપે છે જેથી આ મુવમેન્ટ સફળ થાય. રમણ એમના પુસ્તકમાં જણાવે છે કે ચૌહાણ યાહ્યાખાનને મળ્યા પછી યુએસ જઈ અમેરિકન પત્રકારોને મળી ભારત સરકાર માનવાધિકારનો ભંગ કરી રહી છે તેવું જણાવી યુએસ સરકારના અધિકારીઓને પણ મળે છે આ મીટીંગનું પ્રમુખ સ્થાન હેન્રી કિસિંજર સંભાળતા હોય છે.

જનરલ ઝિયાને તકલીફ એ થઈ કે ખાલીસ્તાન મુવમેન્ટ ચલાવાનારોએ ખાલીસ્તાનનો નકશો બહાર પાડ્યો એમાં પાકિસ્તાન પંજાબને પણ આવરી લીધેલું. ઝીયાએ શીખ ઉગ્રવાદીઓ પર કડક નજર રાખવાની સુચના આપી દીધી. ૧૯૮૮માં ISI નાં વડા જનરલ હમીદ ગુલે બેનઝીર ભુટ્ટોને ખાલીસ્તાન મુવમેન્ટને સપોર્ટ કરવા પત્તા ઉતારવાનું કહ્યું પણ બેનઝીરે પત્તા ફેંકાવી દીધા હતા ઉતરવા નહોતા દીધા.

૧૭૦૯ થી ૧૮૪૯ સુધી શીખ એમ્પાયરનો દબદબો હતો. એની રાજધાની લાહોરમાં હતી. ઐતિહાસિક શીખ સામ્રાજ્યના મોટાભાગના હિસ્સા આજે પાકિસ્તાનમાં છે. લાહોર, મુલ્તાન, પેશાવર, પાક હસ્તક કાશ્મીર, પાક પંજાબ, ખાય્બર પખ્તુન્ખવા વગેરે મહત્વના ભાગો હાલ પાકિસ્તાનમાં છે. મહારાજા રણજીતસિંહ જે શીખ સામ્રાજ્ય સંભાળતા હતા અને તેમની ગાદી લાહોરમાં હતી તે તથા ભારતનું પંજાબ આ તમામ ખાલીસ્તાન મુવમેન્ટ ચલાવનારાઓને જોઈતું હતું. એમનો આ ઈરાદો ઝીયા ઉલ હક ભાપી ગયા પછી કદાચ શીખ અલગાવવાદીઓને પાકિસ્તાને મદદ કરવાનું બંધ કરી દીધું હોવું જોઈએ. કહેવાય છે બેનઝીર ભુટ્ટોએ શીખ ઉગ્રવાદીઓની બધી માહિતી મૈત્રી વધારવા રાજીવ ગાંધીને આપી દીધેલી. ઓપરેશન બ્લ્યુ સ્ટાર પછી રાજીવ ગાંધીએ ૧૯૮૮મા ઓપરેશન બ્લેક થંડર કરેલું. તે વખતે ૨૦૦ ઉગ્રવાદીઓ શરણે થયેલા અને ૪૨ માર્યા ગયેલા. તે ઓપરેશન પંજાબ પોલીસ વડા કુંવરપાલસિંઘ ગીલની રાહબરી હેઠળ થયેલું. ઓપરેશન બ્લ્યુસ્ટાર વખતે કરાયેલી ભૂલો તે વખતે નિવારવામાં આવેલી. આ ઓપરેશનનાં હીરો કોણ હતા? પહેલી વાર કોઈ આઈપીએસ ઓફિસરને આર્મીનો મેડલ કીર્તિ ચક્ર મળેલો તે અજીત દોવલ હતા. શીખ જેવા ફિગર અને જેસ્ચર નહિ ધરાવતા અજીત દોવલ મહિનાઓ સુધી દાઢી વધારી શીખ બની ઉગ્રવાદીઓના હમદર્દ બની એમની સાથે ગોલ્ડન ટેમ્પલમાં રહેલાં. અજીત દોવલની રજકણ જેવડી ભૂલ થઈ હોત તો મિલીટન્ટ એમના દેહને લોટ ચાળવાની ચારણી જેવો બનાવી દેત એમાં કોઈ નવાઈ નહિ.

આ ખાલિસ્તાની ચળવળ શું કોઈ એક પરિબળને લીધે ચાલુ થઈ હશે?

વધુ જોઈશું બીજા અંકમાં….

Bhupendrasinh Raol, Scranton PA, USA.  25 Feb. 2018

જૌહર, પદ્માવત અને વાદવિવાદ

jauhar-kundજૌહર, પદ્માવત અને વાદવિવાદ

જોહર અને કેસરિયા કરવા એટલે શું? ગઢને આક્રમણકારીઓએ ઘેરો ઘાલ્યો હોય અંદર લડનારા રાજપૂતોની સંખ્યા ઓછી હોય કે બીજી કોઈ કોમ લડવાની હોય નહિ. અનાજ અને પાણી પુરવઠો પણ ખતમ થઈ જવા આવ્યો હોય એટલે સ્વમાની રાજપૂતો હાર માની શરણે થઈ ગુલામ બનવાને બદલે મરવાનું પસંદ કરતા, એટલે રજપૂતો કેસરિયા કરતા અને સ્ત્રીઓ જોહર. કેસરિયા એટલે ગઢના દરવાજા ખોલી મરવાના જ છીએ એવી ખબર સાથે તૂટી પડતા. અને બધા મરાય એટલા દુશ્મનોને મારીને પછી મરી જતા કોઈ બચતું નહિ.

“બહુ હિંમત જોઈએ એને માટે, અથવા ગાંડી હિંમત જોઈએ.”

હવે પછી શું થાય? લડનારા, રક્ષણ કરનારા તો બધા ગયા. ગઢની અંદરની સ્ત્રીઓનું શું થાય? આક્રમણ કરનારા પકડી જાય. ગુલામ બનાવે, દાસી બનાવે, સેકસુઅલ શોષણ કરે, ભયાનક માનસિક અને શારીરિક ત્રાસ આપે. તો કરો જોહર.

પીંક મુવીનો છેલ્લે અમિતાભ બચ્ચને બોલેલો ડાયલોગ યાદ આવે છે?

નો એટલે નો, નો એટલે નહિ, મારી મરજી વિરુદ્ધ મારા શરીરને તમે અડી શકો નહિ. જોહર એટલે ભલે એને માટે મારે મરવું જ કેમ ના પડે? કારણ સ્ત્રી અસહાય હોય એટલે તેની મરજી ના હોય છતાં તમે અડવાના જ છો. અને તે ના થવા દેવું હોય તો પછી જાતે જ મરી જવું. એમાંથી જોહરની ભયાનક પણ ખુદ્દાર ભાવનાનો જનમ થયો. એક મોટી ચિતા સળગાવી રજપૂતાણીઓ એમાં કુદી પડતી ને આ બાજુ ગઢના દરવાજા ખોલી રજપૂતો દુશ્મનો પર મરવા માટે તૂટી પડતા.

જે સ્ત્રીઓ જોહર ના કરી શકતી હોય તે પછી દુશ્મનોના પલ્લે પડી જતી અને ભયાનક ત્રાસ વેઠતી.

સોમનાથ પર ગઝનીએ હુમલો કર્યો ત્યારે હજારો સ્ત્રીઓ ગઝની ઉપાડી ગયેલો એમાં મુખ્યત્વે બ્રાહ્મણ સ્ત્રીઓ વધુ હતી અને બજારમાં કારેલા-કંકોડાને ભાવે વેચી મારેલી. તે વખતે કવિ કલાપીના પૂર્વજ હમીરજી ગોહિલે ૪૦૦ રાજપૂતો સાથે કેસરિયા કરેલા અને બધા કપાઈને વીરગતિ પામેલા, એકેય બચેલો નહિ. સોમનાથ જાઓ તો એમનું સ્ટેચ્યુ જોવા મળશે.

ચિતોડ પર ખીલજી એ હુમલો કર્યો ત્યારે મહારાણી પદ્માવતીએ ૧૬૦૦૦ રજપૂતાણીઓ સાથે જોહર કરેલું. એવા અનેક કિસ્સા ઈતિહાસમાં છે, પણ આ જોહર બહુ મોટું હતું એટલે વધારે પ્રખ્યાત છે. દરેક વખતે જોહર થતા એવું પણ નહોતું. મહારાણી પદ્મિનીના વારસ એવા મહારાણા પ્રતાપ હલાદીઘાટીનાં યુદ્ધ પછી ચિતોડ છોડી જંગલમાં જતા રહેલા અને ફરી ઉભા થઈને પાછું એમનું નવું રાજ્ય વસાવેલું. કારણ એમના પિતા ઉદયસિંહ દ્વારા વસાવેલું ઉદયપુર શહેર એમની પાસે હતું.

જોહર અને કેસરિયા ને આપણે અત્યારે ક્રીટીસાઈઝ કરીએ છીએ પણ હવે એનો અર્થ નથી. એ વખતે જરૂરી લાગ્યું હશે. હમણાં કોઈ ફિલ્મ ક્ષેત્રની સ્વરા ભાસ્કરે અધૂરા જ્ઞાને લેખ લખ્યો છે એટલે વળી પાછું જોહર પર વિવેચન ચાલુ થયું છે. બારમામાં બે વાર અને કોલેજમાં ચાર વાર બ્રેકપ કરી ચુકેલી, રોટલી કરતા ગરમ તવી અડી જતાં બુમાબુમ કરી મેલતી કોન્વેન્ટ ભણેલી બહેનો પતિના શર્ટના મેલા કોલર પર સાબુ ઘસતી હોય એમ ધડાધડ અભિપ્રાયનો મારો ચલાવવા લાગી છે. અમે હોત તો આમ કરત ને તેમ કરત. અમે હોત તો ઝાંસીની રાણી બની લડાઈ લડી લેત પણ આમ સુસાઈડ નો કરત. અરે મારી બહેનો બંધ કિલ્લામાં ખાવાનું ખતમ થઈ ગયું હોય અને કોઈ આરો ના હોય ને સામે અંગ્રેજો નહિ પણ ખીલજી હોત તો રાણી લક્ષ્મીબાઈ પણ જોહર કરત.

હવે એવા યુદ્ધ થતાં નથી તો જોહર પણ થવાના નથી. જોહરની સાથે સાથે જ કેસરિયા થતાં, એકલું જોહર નહિ. એક બાજુ પતિદેવો કેસરી સાફા બાંધી મરવા માટે ધસી જતાં તો બીજી બાજુ સ્ત્રીઓ અગ્નિને હવાલે થતી. બહુ તકલીફ દાયક હોય આ બધું. અત્યારે આ બધું ક્રિટીસાઈઝ કરવું સહેલું છે. મારી વહાલસોઈ કેન્સરને હવાલે મૃત્યુ તરફ ધસી રહી હતી ત્યારે મેં એ તકલીફ વેઠી છે. તો મારી આંખોમાં નજર પરોવી મને રોજ રોજ મરતો જોઈ એને પણ તકલીફ થતી હતી. સ્ત્રીઓ પોતાના વહાલસોયા પતિને કેસરી સાફા બંધી મૃત્યુ તરફ જતાં કઈ રીતે જોઈ શકતી હશે તો પતિઓ પણ એમની પત્નીઓને આગને હવાલે થતી કઈ રીતે જોઈ શકતા હશે? હવે અત્યારે આપણે બધા ડંફાશ મારવા બેસી ગયા છીએ કે આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ. અરે હજુ કાઈ વીતી ગયું નથી. ખીલજીના વારસદારો ISISને હવાલે થોડા દિવસ રહી આવો તો ભાઈઓને પણ જોહર કરવાનું મન થશે.

જોહર પાછળ એક જ ઉદ્દાત ભાવના હતી કે મારી મરજી વિરુદ્ધ મારા શરીરને તમે અડી શકો નહિ ભલે એને માટે મારે જાતે મરવું પડે.

પહેલું જૌહર સિંધમાં ઈ.સ. ૭૧૨મા નોધાયેલું. મહંમદ બિન કાસીમે રાજા દાહિરને હરાવ્યા પછી એમની રાણીએ મહિનાઓ સુધી ઝીંક ઝીલી પણ ફૂડ સપ્લાય પૂરો થતા જૌહર કરેલું.
અલ્લાઉદ્દીન ખીલજી સમયે જેસલમેરમાં પણ જૌહર થયેલું.
૧૩૦૩મા ચિતોડમાં મહારાણી પદ્માવતીએ કરેલું.
૧૩૨૭મા ઉત્તર કર્ણાટકનાં કામ્પીલી રાજમાં મહંમદ બિન તુઘલકના આક્રમણ સમયે નોધાયેલું.
૧૫૩૫માં ચિતોડમાં ફરી ગુજરાતના બહાદુરશાહનાં આક્રમણ સામે રાણી કર્ણાવતીએ જૌહર કરેલું.
મધ્યપ્રદેશ રાઈસેનમાં ત્રણ જૌહર નોંધાયેલા છે. એમાં રાણી દુર્ગાવતીએ ૭૦૦ સ્ત્રીઓ સાથે કરેલું મુખ્ય છે.

આમ જોહરનો બહુ લાંબો પણ સાવ ઓછો ઈતિહાસ છે. દર યુદ્ધે જોહર નહોતા થતાં. હિંદુ રાજાઓ અંદર અંદર લડતાં ત્યારે જોહર નહોતા થતાં. કારણ હિંદુ રાજાઓ એવા જુલમી નહોતા. હિંદુ રાજાઓના જુદા એથિક્સ હતા. તેઓ બ્રાહ્મણ, ગાય, ઘાયલ, બીમાર, મહેમાન, હથિયાર વગરના, વૃદ્ધ, સ્ત્રીઓ, બાળકો પર હુમલા કરતા નહિ. વિદેશી આક્રન્તાઓ પાસે જુદા એથિક્સ હતા કે કોઈ પણ ભોગે શત્રુને મારી જ નાખવો મતલબ કોઈ એથિક્સ જ નહોતા. એથિક્સ વગરના સામે એથિક્સ લઈને લડવા નીકળેલા રાજપૂત રાજાઓ એટલે જ હારતા હતા. બાકી બહાદુરીમાં કોઈ કમી નહોતી. હવે આજે આપણે શિખામણો આપીએ એનો કોઈ અર્થ નથી.
****************************
મારા પિતા મને નાનો હતો ત્યારે મારા દાદાની એટલે કે એમના પિતાની વાતો કરતા. દાદા આમ હતા, દાદા તેમ હતા, દાદા દીવાન હતા એટલે સાંજે ચેરમાં બેઠા હોય ને નોકરો પગ દાબતા હોય. એમના દબદબા વિષે બહુ વાતો કરતા. એમાં બે થોડી વાતો વધારે પણ હોઈ શકે. અમે ચારે ભાઈઓએ દાદાને જોએલા જ નહિ. પણ પિતા જે કહે તે પરથી એમની એક છબી બનાવતા. એવી જ રીતે મારા પિતાશ્રી ગુજરી ગયા ત્યારે બે દીકરાઓ બહુ નાના હોવાથી એમને કશું યાદ નથી. મારા પિતા વિષે હું મારા દીકરાઓને વાતો કરતો હોઉં છું. રાજાઓ સાથે જેના રોજના બેસણા હતા, રોજ નવો સાફો બાંધતા તે મારા પિતા ગાંધી વિચારે કે વાદે પછી આખી જીંદગી સાવ સાદગીમાં ખાદીના ઝભ્ભા અને ખાદીની ટોપી પહેરી જીવેલા. હવે મારા દીકરાઓએ મારા પિતા જોયા નથી કે યાદ નથી એનો મતલબ એ ના થાય કે એમના દાદા હતા જ નહિ. મેં મારા દાદા જોયા નથી એનો મતલબ એ નો થાય કે મારા દાદા હતા જ નહિ. તમને છૂટ છે જે વિષય પર લખવું હોય તે વિષય પર લખો, લેખ લખો કવિતા લખો, ફિલમ બનાવો સ્વતંત્ર ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. પણ મારા પિતા કે દાદા વિષે લખો તો મને પૂછ્યા વગર નો લખતા, સારું લખ્યું હશે તો ઠીક છે બાકી કશું ખોટું લખ્યું હશે તો બહુ મારીશ. હહાહાહાહાહા અભિવ્યક્તિની સ્વતંત્રતા એકલી જ જોઈએ છે? એની સાથે સાથે કોઈ બીજાને હર્ટ નહિ કરવાની જવાબદારી નથી જોઈતી?

૩૫મી પેઢીએ પદ્માવતીના વારસદારો હજુ જીવે છે. આ કોઈ પૌરાણિક પાત્ર નથી, કે સર્જનાત્મકતાને બહાને તમે ગમે તેમ ઘસડી મારો. સામાન્ય લોકોના પૂર્વજોના નામ નોંધાતા નહિ હોય પણ રજવાડાઓમાં બારોટો, વહીવન્ચાઓ આવી નોંધણી રાખે છે. જોધપુર-જયપુર જેવા રજવાડાઓમાં તો સેંકડો વર્ષ પહેલા રસોડામાં શું બનાવેલું, શું મસાલા નાખેલા અને કોણ જમવા પધારેલું તેની પણ પાકી નોંધો છે. એટલે કહેતા નહિ કે પદ્માવતી કાલ્પનિક છે. હશે એમની વાર્તામાં કલ્પના તત્વ ઉમેરાયેલું ચોક્કસ હશે અને એના આધારે કોઈ ડફોળ બની બેઠેલો ઇતિહાસકાર આખી વાતને કલ્પના કહેતો હોઈ શકે છે.

હવે જાયસી નામના સુફી સંતે પદ્માવત નામની સરસ કવિતા લખી. હવે કવિતામાં એણે ઈતિહાસ સાથે એની ભવ્ય કલ્પનાઓ પણ ઉમેરી છે. પૃથ્વીરાજ રાસોમાં કવિ ચંદ બારોટ અને એમના મૃત્યુ પછી એમના દીકરાએ પૃથ્વીરાજના ઈતિહાસ સાથે એમની કલ્પનાઓ પણ ઉમેરી છે. એટલે એમાંથી ઈતિહાસ જુદો તારવવો પડે ભલે કઠીન હોય. બંનેમાં વધારી વધારીને વાતો લખેલી જ છે. જેવી રીતે મારા દાદાની વાતો જાણે અજાણે વધારીને મારા દીકરાઓને કહેતો હોઉં છું. જાયસીએ સિંહલ નામના નાના રજવાડાને સિંહલ દ્વીપની ભવ્ય કલ્પના પણ આપી હોઈ શકે.

સંજયલીલા ભણશાળી બહુમુખી પ્રતિભા ધરાવતો ફિલ્મ સર્જક છે સાથે સાથે વેપારી પણ છે તે નો ભૂલતા. એ પહેલા તો સારો ફિલ્મ એડિટર છે, દીર્ગદર્શક છે, સંગીતકાર છે, સ્ક્રીન પ્લે રાઈટર પણ છે. સર્જક હોય એટલે સજ્જન હોય તે જરૂરી નથી. પ્લાન્ડ વિવાદો જગાવી મફતમાં પબ્લીસીટી કરવાની એમને આદત છે. એના કેમ્પસમાંથી જ વાત ઉડેલી ખીલજી અને પદ્માવતીનો રોમાન્સ એક યા બીજા બહાને જેવો કે ડ્રીમ સિક્વન્સમા હશે. સોનું નિગમ પ્રખ્યાત ગાયક ઉપરાંત ભણશાળીનો મિત્ર પણ છે. સંગીતના પ્રોગ્રામમાં બંને જજ તરીકે સાથે બેઠેલાં પણ છે. સોનું નિગમનો ઈન્ટરવ્યું હતો એમાં આ રોમાન્સ હશે તે વાત એણે ખુલેઆમ કહેલી છે. ભડકો ત્યાં થયો. સોનુએ એ પણ કહ્યું કે ફરાહખાને કહ્યું કે પદ્માવત કાલ્પનિક છે. તો સોનુએ પૂછ્યું કે તને કોણે કહ્યું. તો જવાબ મળ્યો જાવેદ સાહેબે. સોનું કહે જાવેદ સાહેબ સારા ગીતકાર છે કોઈ ઇતિહાસકાર નહિ.

જ્યારે જ્યારે કોઈ પણ વિવાદ જાગે ટીવીના ટુચ્ચા ટુણીયાદ એન્કરો, છાપાના નવોદિત પત્રકારો કહેવાતી સેલિબ્રિટી પાસે પુછવા ધસી જતાં હોય છે. નેતાઓ જોડે ધસી જતાં હોય છે. એમનો એ બાબતમાં કોઈ વિષય ના હોય જ્ઞાન ના હોય બસ સેલિબ્રિટી હોવો જોઈએ. આપણા નેતાઓ કેટલા ભણેલા હોય છે તે આપણે સહુ જાણીએ જ છીએ. હહાહાહાહા

આજ સુધી કેટલીય ઐતિહાસિક કથાનકો પરથી ફિલ્મો આવી ગઈ પણ કોઈ ખાસ વિવાદ થયા નથી. સોહરાબ મોદી તો ઐતિહાસિક ફિલ્મો બનાવવા માટે બહુ જાણીતા હતા. સિકંદર પોરસ ઉપર એમણે સરસ ફિલ્મ બનાવેલી. મુનશીની ગુજરાતી નવલકથા પૃથ્વીવલ્લભ પરથી સૌથી પહેલી હિન્દી ફિલ્મ એમણે બનાવેલી. એના પરથી માલવપતિ મુંજ નામની ગુજરાતી ફિલ્મ પણ આવેલી. સંજયભાઈ કોઈ પણ મૂવી બનાવે કોઈ ને કોઈ વિવાદ તો થાય જ. પહેલા વિવાદ જાગે એવું કરો, વિવાદ જગાવો, પછી સુલઝાવો, એમાંથી પૈસા કમાઓ.

કોઈ સરસ ચિત્રકાર હોય અમારાં મિત્ર નલીન સૂચક જેવા હવે તેઓ એક સુંદર પરીનું ચિત્ર બનાવે પછી એમની ગેરહાજરીમાં સર્જનાત્મકતાને બહાને એ પરીને હું સરસ મજાની મૂછો બનાવી નાખું, દાઢી બનાવી નાખું તો સૂચક સાહેબ શું કરે? મને ધોકો લઈને મારવા દોડે કે નહિ? કે કોર્ટમાં જાય? હવે હું બાહુબલી હોઉં તો બિચારા કોર્ટમાં જાય ને હું કહું મને અભિવ્યક્તિની આઝાદી છે. તો? ભણેલા ગણેલા લોકો મારથી બહુ બીવે. હું જજને ખાનગીમાં લાલ આંખ બતાવી કહું કે પૈસા આપી કહું કે ચુકાદો મારી તરફેણમાં આવવો જોઈએ તો? મને પણ કલ્પનાના ઘોડા દોડાવવાની અભિવ્યક્તિની આઝાદી છે. હહાહાહા! હવે સૂચક સાહેબના પરીના મૂળ ચિત્રમાં, હું પણ સારો ચિત્રકાર હોવાથી એક સરસ મજાનો લીટો મારા ચિત્રકળાના જ્ઞાનને વાપરીને મારું અને ચિત્ર ઓર નીખરી ઉઠે તો સૂચક સાહેબ મને થાબડે કે નહિ? મૂળ કથાનકને નુકશાન થાય એવી રીતે તમારી સર્જનાત્મકતા વાપરતા શું ચૂંક આવે? સંજયલીલાએ સરસ્વતીચંદ્રના મૂળ કથાનકનો સાવ છેદ ઉડાડી દીધેલો. અરે ભાઈ તારે એવું જ કરવું હોય તો સંજયચંદ્ર બનાવને સરસ્વતીચંદ્રની પત્તર શું કામ ઝીંકે છે?

ફિલ્મ પર પ્રતિબંધ ક્યારે મુકાય? ફિલ્મ સેન્સર બોર્ડમાં જાય તે જોઇને એમાં કશું અઘટિત હોય તો સેન્સર બોર્ડ જ પ્રતિબંધ મૂકી દે. ફિલ્મ સેન્સર બોર્ડમાં ગઈ પણ નહોતી ને ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને યુપી સરકારે પ્રતિબંધ મૂકી દીધો. છે ને હાસ્યાસ્પદ? સંજયભાઈની બદમાશી જુઓ કે ફિલ્મ સૌથી પહેલી સેન્સર બોર્ડને બતાવવાની હોય એના પહેલા એમના મળતિયા ચાટુકાર બેચાર ટીવી ચેનલના માલિકોને બતાવી એની જાહેરાત ટીવી પર કરવા માંડ્યા કે ફિલ્મમાં કશું વાંધાજનક નથી. ત્યારબાદ સેન્સર બોર્ડમાં ફિલ્મ ગઈ આશરે ત્રીસ ચાલીસ કટ મારીને ફિલ્મ પાસ થઈ ગઈ. હવે પેલો હાસ્યાસ્પદ પ્રતિબંધ સરકારોએ મુકેલો તે સુપ્રીમ કોર્ટ ઉઠાવી ના લે તો શું કરે? સુપ્રીમ કોર્ટ ઉપર વિશ્વાસ ચોક્કસ રાખવો જોઈએ પણ ના રહ્યો તેવી પરિસ્થિતિ ઉભી કરવામાં આ ચાર ડફોળ સરકારો, અને સંજલીલાની હરકતો હતી.

વાંધો હતો માટે જ વાંધાજનક હતું તે કાઢી નખાયું, વાંધો લીધો ના હોત તો કાઢી નખાયું ના હોત. હવે અંદર વાંધાજનક કશું રહ્યું નથી એટલે હવે કોઈ વાંધો હોવો ના જોઈએ પણ આ બધી બબાલ, તોફાન, તોડફોડ નિવારી શકાયું હોત જો સંજયલીલા ભણશાલીની નિયત હોત તો..

ફિલ્મ વિષે કહું તો હવે એમાં કહેવાતાં વાંધા જેવું કશું રાખ્યું નથી. વાર્તામાં તેઓ પદ્માવત કવિતાને વફાદાર રહ્યા નથી સિવાય કે એનું ટાયટલ. ફિલ્મ ટીપીકલ ભણશાળી ફિલ્મ છે. મરચું, મીઠું, હળદર, અબીલ, ગુલાલ, ચંદન, ફરી પાછી હળદર. કંકુ પુષ્કળ વપરાયું છે. દીપિકા સિંહલ દ્વિપમાં વધુ સુંદર લાગતી હતી એટલી ચિતોડમાં નથી લાગતી. અભિનયમાં રણવીરસિંહ બેમિસાલ, દીપિકા બરોબર, શહીદ કપૂરની એક તો છાપ રોમેન્ટિક હીરોની અને રાજપૂતોની કરડાકી ચહેરા પર લાવવામાં બહુ સફળ થયો નહિ પાછો.. ગોરા-બાદલ કાકા ભત્રીજાની રાણા રતનસિંહને ખીલજીની કેદમાંથી છોડાવી લાવવાની મુખ્ય ભૂમિકા રહેલી તેમાં દીપિકાની એન્ટ્રી મરાવી એ ભૂમિકાનું વજૂદ રહેવા દીધું નહિ. કપડાંલત્તા ભવ્ય, દરદાગીના પણ પુષ્કળ પહેરાવ્યા છે. નાકમાં ટીનેજર છોકરીની બંગડીઓ હોય એવા માપના ભારે કડલાં શું કામ પહેરાવતા હશે? કુમળું નાક બિચારું આ ભાર સહન કરી શકે નહિ અને એની સિમેટ્રી જ બગડી જાય. ચહેરાની સુંદરતા પાછળ ગણિતનું માપ હોય છે, ભૂમિતિ હોય છે એને સિમેટ્રી કહેવાય. સિમેટ્રીકલ ચહેરો અનાયાસે સુંદર લાગે. બાકી ટેકનીકલ મુદ્દાઓ વિષે ચર્ચવાનો મારો વિષય નહિ.

ઘૂમર વખતે કોઈ પુરુષ હાજર નથી સિવાય રાણા રતનસિંહ તે સિવાય દીપિકાની કમરનો એક સેન્ટીમીટર પણ ભાગ બતાવ્યો નથી. મારી કહેવાની ફરજ છે. જોહર બતાવતી વખતે જે દ્રશ્યો ઊભા કર્યા છે તે અદ્ભુત, એમાં ભણશાળીનો કમાલ દેખાય છે. એમાં એક ગર્ભવતી સ્ત્રી અને નાની બાળકી બતાવી છે તે લોકોને હચમચાવી જાય તેવું છે. નાની બાળકીઓ પર બળાત્કાર ક્યા નથી થતાં? એને એવી યાતના વેઠવી ના પડે તે માટે એની માતાએ જોહરમાં ધકેલી હશે. ગર્ભવતી સ્ત્રીને તો બળાત્કાર સહન કરવાનો વધુ તકલીફ દાયક. મુસ્લિમ આક્રાંતાઓનો કાળો કેર કેવો હશે કે ગર્ભવતી સ્ત્રીઓએ અને નાની બાળકીઓને પણ જોહરમાં ધકેલવી પડે તે દર્શાવવા કદાચ ભણશાલીએ એવું બતાવ્યું હશે. ઘણીબધી વિચારશીલ મહિલાઓને પ્રશ્ન થાય છે આવા બનાવોને ગ્લોરીફાઈ નહોતા કરવાના. ભણશાલીએ ખોટું કર્યું છે. સ્વરા ભાસ્કરના લેખનો મૂળ મુદ્દો આ છે. પણ ફિલ્મકારે એક સબ્જેક્ટ પસંદ કર્યો, એક વાર્તા પસંદ કરી એમાં જોહર જ મુખ્ય હોય તો એ તો એણે બતાવવું જ પડે કે નહિ? એમાં ભણશાલીએ કશું ખોટું કર્યું હોય એવું મને લાગતું નથી. એ જોઇને હાલ કોઈ જોહર કરવાનું નથી.

હાલ જોહરને બહુ ખોટી રીતે મૂલવવામાં આવી રહ્યું છે. જોહર સામૂહિક ઘટના હતી. સતી વ્યક્તિગત ઘટના છે. સતી પરાણે કરાવે એ મર્ડર જ કહેવાય. બંગાળમાં બ્રાહ્મણોમાં સતી કરવાનું બહુ જોરમાં હતું, સ્ત્રીઓને બળજબરીથી પતિની ચિતામાં ધકેલી દેવાતી. એમાં એણે પાલાવવાની જવાબદારીમાંથી મુક્ત થવાય અને મિલકતમાં ભાગ માંગે નહિ. રાજારામમોહન રાયના ભાભીને પરાણે સતી કરી નાખેલા તે જોઈ એ હચમચી ગયેલાં. અને એમાં એમણે સતી પ્રથા વિરુધ ઝંડો ઉઠાવ્યો અને અંગ્રેજોની મદદ લઇ એ પ્રથા બંધ કરાવી. થેન્ક્સ ટુ બ્રિટીશ.. જોહર કોઈ બળજબરીથી કરાવતું નહિ કે આવી કોઈ ફરજીયાત પ્રથા પણ નહોતી.

ખેર આપણી પ્રજામાં ફિલ્મો અને એની સાથે જોડાયેલી વ્યક્તિઓ પ્રત્યે એક ઘેલાપણું છે. ફિલ્મી લોકોને ભગવાન સમજતી હોય છે. એટલે જ્યારે આવો એમના વિરુદ્ધ વિવાદ થાય એટલે લોકોને એમના ભગવાન પર હુમલો થયો હોય એમ લાગે. પછી સિંહ ગર્જનાઓ કરતા શોભા ડેઓના, ખરણબ ગોસ્વામીઓના રજત શર્માઓના એવા કિન્નર સમાજના ટોળાઓ નીકળી પડે બચાવમાં. એમાં હવે સોસિઅલ મીડિયા આવ્યું એટલે પછી કોઈ વાત બાકી ના રહે. સાત પેઢીમાં લોહીનું એક ટીપું પાડ્યું ના હોય દેશ માટે કે સાત પેઢીમાં કોઈ આર્મીમાં જોઈન ના થયું હોય એવા લોટ માંગુઓ સલાહ આપવા નીકળી પડે કે રજપૂતો બોર્ડર પર જાઓ. એલા ખરપુત્ર અત્યારે બોર્ડર પર રજપૂતો જ છે અને શીખો જ વધુ છે. બધા કાઈ બોર્ડર પર જાય તો જ દેશસેવા ગણાય તેવું હું ય નથી કહેતો. કરણીસેના ઠીક કોઈ સેનાએ કાયદો હાથમાં લેવાનો ના હોય. એક હિન્દ કી સેના સિવાય કોઈ સેના હોવી ના જોઈએ. વિરોધ કરવાનો હક છે તો એના બહાને તોફાનો ના થવા જોઈએ તે જવાબદારી પણ છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા છે તો કોઈને હર્ટ નહિ કરવાની જવાબદારી પણ છે. વિરોધ કરવાના સાચા તરીકા નેતાઓએ કોઈને શીખવ્યા જ નથી. કારણ તોડ્ફોડીઓ વિરોધ કરીને બસો બાળીને જ વિરોધ કરીને આ નેતાઓ આગળ આવેલા છે. સુપ્રીમ કોર્ટનો અનાદર કરી ને આ નેતાઓ આગળ આવેલા છે. છતાં આપણે એમના જેવા થવું એવું કોણે કહ્યું? જય હિન્દ જય હિન્દ કી સેના !!!!

Bhupendrasinh Raol Scranton PA USA— January 28, 2018.

અવતાર, ઉત્ક્રાંતિનો અસ્પષ્ટ અરીસો

અવતાર ઉત્ક્રાંતિનો અસ્પષ્ટ અરીસો

હાલના વિશ્વના મહાન જીવવિજ્ઞાની(બાયોલોજિસ્ટ) અને બિનસાંપ્રદાયિક માનવaવાદના પ્રણેતા એવા રીચાર્ડ ડૉકિન્સ એકવાર કહેતા હતા કે આપણા સૌથી જુના પૂર્વજ માછલી છે. ત્યારે અચાનક મને આપણી અવતારવાદની પૌરાણિક માન્યતા યાદ આવી ગઈ ને માનસપટલ ઉપર દ્ગશ્ય ઊભરી આવ્યું મત્સ્યાવતારનું ભગવાનનો પહેલો અવતાર માછલીરૂપે. આપણા પ્રાચીન મનીષીઓનાં મનમાં આમ અચેતનરૂપે ક્યાંક ઉત્ક્રાંતિની સમજ તો નહિ હોય ને? ભલે એમના મનમાં ઉત્ક્રાંતિનો સ્પષ્ટ અરીસો નહિ હોય પણ કોઈ ધૂંધળી છબી જરૂર હોવી જોઈએ. આપણે વાર્તા કહેતા વાનરો છીએ. વાર્તાઓ ઘડીને પછી તેને બીજાને કહીને લાખો વર્ષથી માહિતી, જ્ઞાન, આવડત, કૌશલ, કળા, સાહિત્ય વગેરે વગેરે આગળ ધપાવતા આવ્યા છીએ. કોઈ વાત સીધી જલદી ગળે નાં ઊતરે તો વિશિષ્ટ સંદેશાત્મક પ્રતીકો રચી એની વાર્તાઓ ઘડી જ્ઞાન આગળ ધપાવતા રહ્યા છીએ.

આપણે રાત્રે સુતા પહેલા ટુથબ્રશ કરવા બાથરૂમમાં જઈએ, અરીસામાં જોઈએ ત્યારે યુવાન હોઈએ પછી સૂઈ જઈએ, પછી સવારે જાગીને ફરી પાછાં બાથરૂમમાં બ્રશ કરવા જઈએ અને અરીસામાં આપણો ચહેરો જોઈ બૂમ પાડી ઊઠીએ કે હું તો વૃદ્ધ થઈ ગયો. આવું બને ખરું? આપણે યુવા અવસ્થામાંથી રાતોરાત વૃદ્ધાવસ્થામાં તબદીલ નથી થઈ જતા. આપણે જન્મ લઈએ યુવાન બનીએ પછી વૃદ્ધ બનીએ બધા તબક્કા એટલાં ધીમાં હોય છે કે ખબર પડે નહિ યુવાનીમાંથી ક્યારે વૃદ્ધ બની ગયા. યુવતીઓ હમણાં સુધી ભાઈ કહેતી હોય અને અચાનક યુવતીઓ કાકા કે અંકલ કહેવા લાગે ત્યારે ઝટકો લાગતો હોય છે. એટલે તમે કઈ તારીખે કયા સમયે વૃદ્ધ બન્યા તે સવાલ કોઈ પૂછે તો હસવું આવે કે નહિ?

રીચાર્ડ ડૉકિન્સ કહે છે કોઈ તમને પૂછે કે ઈર્ષ્યાનો રંગ કેવો હોય તો આવો સવાલ તમને અર્થહીન લાગે કે નહિ? આમ પહેલો મનુષ્ય કોણ તે સવાલ પણ આવો જ અર્થહીન છે. વધુમાં ડોકિન્સ પૂછે છે એના બુદ્ધિશાળી શ્રોતાઓને કે આપણા પૂર્વજ કોણ? વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા અને ડાર્વિનનાં ઉત્ક્રાંતિવાદમાં વિશ્વાસ રાખનાર કોઈ હશે તો જવાબ આપશે વાનરો અથવા ચિમ્પૅન્ઝી જેવા કપિમાનવ. પણ ડૉકિન્સ તો કહે છે આપણા પૂર્વજ તરીકે માછલી છે. તો આ વાત જલદી ગળે નહિ ઊતરે. ભગવાનનો પહેલો અવતાર મત્સ્યાવતાર એવું કહેનાર કોઈ અજ્ઞાત ઋષિ અને આપણા સૌથી જુના પૂર્વજ માછલી છે એવું કહેનાર આધુનિક વૈજ્ઞાનિક એવા ડૉકિન્સ બંનેની વાતમાં સામ્ય નથી લાગતું? ઉત્ક્રાંતિનો ક્રમ અત્યંત ધીમો હોય છે. માછલીથી મનુષ્ય સુધીની સફરમાં વિવિધ જાતિ-પ્રજાતિ રૂપે વિકસતા વિકસતા કરોડો વર્ષ વીતી ગયા હોય છે. જેમ બાળકમાંથી વૃદ્ધ થતા ૬૦-૬૫ કે ૭૦ વર્ષ વીતી જતા હોય છે અને તે બદલાવ રાતોરાત થઈ જતો નથી તેમ માછલીમાંથી મનુષ્ય બનતા કરોડો વર્ષ વીતી જતા હોય છે અને વચ્ચેની કડીઓ આપણને દેખાય પણ નહિ, કદાચ નાશ પણ પામી હોઈ શકે. આ વચ્ચેની કડીઓ જડે નહિ તો આપણે મહાન મનુષ્યો ઉપરથી અવતર્યા હોઈશું એવું લાગે અથવા કોઈ ઈશ્વરે કુંભાર જાત જાતના માટલાં ઉતારે તેમ બધું સર્જન કર્યું હશે તેમ માનવા પ્રેરાતા હોઈએ છીએ. જે મનુષ્યોએ ભવ્ય ગ્રંથો તૈયાર કર્યા હોય, વેદોની રચના કરી હોય, ખગોળનું અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, શૂન્યનું સર્જન કર્યું હોય, ગણિત અને ભાષાની રચના કરી હોય સૂર્ય અને ચન્દ્રગ્રહણની સચોટ આગાહી કરી હોય એ મનુષ્ય શું વાનરનો વંશજ હોઈ શકે ? આપણાં મનમાં આવા અનેક સવાલો ઊઠતા હોય છે સવાલો ઉઠવા જ જોઈએ સવાલો ઊઠ્યા વગર જ્ઞાન આગળ ધપે જ નહિ. શંકા વગર વિજ્ઞાનની શરૂઆત થાય નહિ માછલીથી મનુષ્ય સુધીની એક અત્યંત લાંબી સાંકળ સ્વાભાવિક છે આજે આપણને દેખાય નહિ. મને લાગે છે તે સાંકળના મુખ્ય મુખ્ય મહત્વના અંકોડા યાદ કરીને ભારતીય પ્રાચીન મનીષીઓએ અવતારવાદની કલ્પના કરી હોવી જોઈએ.

જીવન સમુદ્રમાં શરુ થયું છે. તો પછી ભગવાનનો પહેલો અવતાર સમુદ્રમાં જ થાય ને? કુદરતની પાલનપોષણ કરતી ઊર્જાને ભગવાન વિષ્ણુ કહીને બેસાડો પછી સમુદ્રમાં. પાંચ મહાસાગર ફરી વળો ક્યાંય તમને શેષનાગ ઉપર બેઠેલા વિષ્ણુ નહિ જડે.. વિષ્ણુ એક પ્રતીક છે કુદરતની પાલનપોષણ કરતી વ્યવસ્થાનું. એના પગ દબાવતી લક્ષ્મી પ્રતીક છે કુદરતની સંપદાનું. ફળફળાદીથી ભરેલા જંગલો, ખનીજો, ખનીજ તેલ, ખનીજ કોલસો, ધરતીમાં ધરબાયેલી ધાતુઓ આવી તો અનેક કુદરતી સંપદાનું લક્ષ્મી પ્રતીક છે. સંપદા વગર લાલનપાલન થાય નહિ. ગરીબને ઘેર દીકરી આપતા ગરીબ માબાપને પણ સંકોચ થતો હોય છે. ધીમે ધીમે સજીવોમાં ઉત્ક્રાંતિ થતી રહી. માછલી ફક્ત પાણીમાં જ જીવી શકે જમીન ઉપર નહિ. પણ ધીમે ધીમે એવા જીવો વિકસ્યા કે અમુક જીવ પાણીમાં પણ જીવે અને જમીન ઉપર પણ જીવે. આપણા ભગવાનનો બીજો અવતાર છે કૂર્માવતાર. કૂર્મ એટલે કાચબો. કાચબા પાણી તથા જમીન બંને જગ્યાએ જીવી શકે છે. કાચબો સરીસર્પ જાતોમાં ગણાય. સરીસર્પ પછી જે જાતો વિકસી તે સસ્તન(મેમલ-mammal) પ્રાણીઓ કહેવાયા. તો પછી ભગવાન વરાહ રૂપે અવતર્યા.

વૈજ્ઞાનિકોને ૬૦ લાખ વર્ષ જુનું એક ફોસિલ મળ્યું છે, એનો અભ્યાસ કરતાં જણાયું કે કોઈ જિનેટિક ખોડ આવતાં એ પ્રાણી બીજાં પ્રાણીઓની જેમ ચાર પગે ચાલવા અસમર્થ બન્યું અને બે પગે ચાલવા માંડ્યું. તે આજના માનવીનો પૂર્વજ હતું. ઉત્ક્રાંતિની અદ્ભુત કરામત જુઓ. સંપૂર્ણ ચાર પગે ચાલતા વાનરો કરતાં ચિમ્પૅન્ઝી જેવાં પ્રાણીઓને નકલ વૉકિન્ગ કરતાં કરી દીધાં જ હતાં. ચિમ્પૅન્ઝી જેવાં પ્રાણીઓનાં આગળના બે પગ આપણા હાથ જેવા છે. એને પગને બદલે હાથ કહેવું વધુ યોગ્ય જણાશે. તે હાથ ઊંધા મૂકીને ચાલે છે જેને નકલ વૉકિન્ગ કહેવાય. થોડો સમય બે પગે ઊભા થઈને પણ ચાલે છે. બીજું એક ૩૦ લાખ વર્ષ જુનું ફોસિલ મળ્યું છે જે અર્ધ માનવી અર્ધ વાનર છે, મતલબ અર્ધું માનવી જેવું અને અર્ધું પશુ જેવું છે. અહીં કહાણીમાં થોડો વળાંક છે નૃસિંહ અવતારમાં અર્ધ પશુ અને અર્ધ માનવી છે. પશુમાં વાનરની જગ્યાએ સિંહ મુકાઈ ગયો છે. વામન એટલે સાવ ઓછી ઊંચાઈ ધરાવતો હોય તેને વામન કહેવાય. ઇન્ડોનેશિયામાંથી વૈજ્ઞાનિકોને એક એવું ફોસિલ મળ્યું જે લાગતું હતું સાવ નાના બાળકનું પણ વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું તો ખબર પડી તે પુખ્તવયની સ્ત્રીનું હતું. જુલે વર્ને વેંતિયાં માનવોની કલ્પના કરીને સરસ મજાની વાર્તાઓ લખી છે. આ વામન-અવતાર અને વેંતિયાં માનવોની વાર્તા પાછળ કદાચ આવા લુપ્ત થઈ ગયેલા બટકા માનવોની જાતોનાં વીસરાઈ ગયેલા સંસ્મરણો હોવા જોઈએ. પછી તો રામ અને કૃષ્ણ જેવા પૂર્ણ વિકસિત માનવો જ ભગવાન રૂપે અવતરે તે બિલકુલ સ્વાભાવિક છે. માછલીથી મનુષ્ય સુધીની લાંબી સફરમાં વચમાં લાખો જીવો વિકસી ચૂક્યા હોય છે. લખચોરાસી જનમ પછી માનવ જનમ મળે છે. માછલી તરીકે જન્મેલા મારા જિન્સ વિકસતા વિકસતા નવી પેઢીમાં તબદીલ થતા થતા લાખો(લખચોરાસી) જાતોમાં ક્રમશઃ ફેરવાતા ફેરવાતા આજે મનુષ્ય રૂપે વિકસીને આ પૃથ્વી પર ફરી રહ્યા છે. ઉત્ક્રાંતિનો અસ્પષ્ટ અરીસો એટલે આપણો અવતારવાદ. મત્સ્ય થી રામ-કૃષ્ણ સુધીની યાત્રા વચ્ચેના મહત્વના પડાવ જણાયા પણ લાંબી સાંકળનાં બધા અંકોડા સમજવા અઘરા લાગ્યા હશે તો અવતારની ધારણા અસ્તિત્વમાં આવી હશે.

એક બુદ્ધિશાળી મિત્રના મનમાં સવાલ ઊઠ્યો કે સર્પમાંથી કે હાથીમાંથી કેમ મનુષ્યો પેદા ના થયા ? એમને અહીં દેખાયું નહી કે ઉત્ક્રાંતિને કારણે સર્પ જેવાં જીવોમાંથી સસ્તન(મૅમલ) પ્રાણીઓ પેદા થયાં અને એમાંથી જ ઉત્ક્રાંતિ થઈને વાનર જેવાં બુદ્ધિશાળી પ્રાણી પેદા થયાં. સર્પ અને માનવ વચ્ચે અગણિત કડીઓ પેદા થઈ એને જ તો ઉત્ક્રાંતિ કહેવાય. સર્પમાંથી જ માનવ પેદા થયો છે પણ સર્પ અને માનવ વચ્ચેની અસંખ્ય કડીઓ જોવાની દરકાર આપણે કરતાં નથી. સર્પમાંથી સીધો માનવી પેદા થાય તો ઉત્ક્રાંતિ ના કહેવાય. બ્રેન પણ જુઓ હજુ આપણી પાસે સર્પનું બ્રેન પણ છે અને આદિમ પ્રાણીઓનું આદિમ મૅમલ બ્રેન પણ છે, જેને આપણે નાનું મગજ કહીએ છીએ. આપણે સરીસર્પ (રેપ્ટાઇલ) મગજ ઉપર નાનું મગજ એની ઉપર મોટું મગજ(લાર્જ કૉર્ટેક્સ) ધરાવીએ છીએ. આપણી પાસે જે નાનું મગજ છે તે દરેક ચોપગાં સસ્તન પ્રાણીઓ પાસે છે જ તેને મૅમલ બ્રેન પણ કહેવાય છે.

એક બાપના બે દીકરા હોય એક જરા જુદી જાતનો પેદા થાય અને એક એના બાપ જેવો અદ્દલ હોય. હવે બાપ જેવા અદ્દલ દીકરાની જાત પણ કુદરત જાળવી રાખે અને પેલાં જરા જુદાની જાત પણ આગળ વધે. હવે આ જરા જુદો હોય તે આગળ જતાં વિશિષ્ટ પ્રકારનો ગણાય એવું માનવ માટે સમજવું. બાપ જેવો અદ્દલ એટલે ચિમ્પૅન્ઝી ગણો.. અને જરા જુદો દીકરો માનવ સમજો. ૬-૮ મિલ્યન વર્ષ પહેલાં આ પૃથ્વી ઉપર પૂંછડી વગરના એપ્સ નો દબદબો હતો. મોટાભાગની નાશ પામી ગઈ. ફક્ત ચાર-પાંચ જ બચી છે. ગરિલા(Gorilla), ગિબન(Gibbon), ઉરાંગઉટાંગ અને ચિમ્પૅન્ઝી-બોનોબો, ચિમ્પૅન્ઝી અને બોનોબો કાકા-બાપાના ભાઈઓ જેવાં છે. પાંચમી કે છઠ્ઠી ગણો તો આપણે મહામાનવો. આપણે નસીબદાર છીએ કે આમાંની એક જાત ગિબન આપણાં આસામના જંગલોમાં છે.

અવતાર ઉપરથી ટપકતા નથી. આપણામાંથી જ કોઈ એવો વિશિષ્ટ પેદા થાય છે જે જગતનું નેતૃત્વ કરવા માટે સક્ષમ હોય છે, જે લાખોને દોરે છે, લાખોને જીવવા માટે પ્રેરણા પૂરી પાડે છે, જેની પાસે નવી અને ખૂબ દૂરનું જોવાની દ્ગષ્ટિ છે, કશું એવું કરીને જાય છે કે દુનિયા હજારો વર્ષ લગી તેને ભૂલ્યા વગર યાદ કરે રાખે છે, એટલે તે છે ભગવાનનો અવતાર.

 

વીરોને વરતી મતવાલી નાર

main-qimg-e68e7cff8e6f51bf6aea895273d37f41-cવીરોને વરતી મતવાલી નાર  

વસુંધરા એટલે પૃથ્વી અને સ્ત્રી વીરોને વરતી હોય છે. વરતી એટલે પસંદ કરતી હોય છે. પછી એની પસંદ પૂરી ના પડે તે અલગ વાત છે. એટલે વસુંધરા વીર એટલે કે બળવાન પુરુષો પ્રત્યે અનાયાસ કેમ ખેંચાઈ જતી હોય છે તેની પાછળ રહેલું સૂક્ષ્મ સાયન્સ આજે તમને જણાવવા માંગુ છું. બાવડેબાજ પુરુષો સ્ત્રીની હમેશાં પહેલી પસંદ રહ્યા છે.

લૈંગિક(sexual) આકર્ષણ બહુ રહસ્યમય ચીજ છે. એના જાદુઈ સમીકરણ ઉકેલવાનો વૈજ્ઞાનિકો અને કલાકારો કાયમ પ્રયત્ન કરતા હોય છે. લૈંગિક આકર્ષણ વિષે એક સરસ ચિત્ર ઉપસાવવા વૈજ્ઞાનિકો અને કલાકારો ખૂબ સંશોધન કરતા રહેતા હોય છે. એટલે વૈજ્ઞાનિકો અને મનોવૈજ્ઞાનિકોનાં ધ્યાનમાં આવ્યું છે કે અમુક સ્ત્રીઓ મેસ્કયુલિન પુરુષો પ્રત્યે અસહાય બનીને ખેંચાઈ જતી હોય છે. જોહ્ન અબ્રાહમ કે સલમાનખાન, મૅલ ગિબ્સન, સ્ટેલોન, ઋત્વિક રોશન કે અર્નૉલ્ડ પડદા ઉપર આવતા કેટલીય સ્ત્રીઓના મોઢામાંથી છુપા સિસકારા અને નિસાસા નીકળી જતા હશે? એનું સાદું સ્વાભાવિક કારણ એ છે કે આવા પુરુષો હેલ્થી હોય છે, અને ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ જોઈએ તો સારી તંદુરસ્તીની કિંમત mating market માં ખૂબ ઊંચી હોય છે કારણ કે એનાથી રીપ્રૉડક્ટિવ સફળતા વધી જતી હોઈ શકે.

અગાઉના સંશોધન બતાવે છે કે મેસ્ક્યુલિન ફીચર અમુક વિશિષ્ટતાઓ સાથે જોડાયેલા હોય છે જેવા કે આવા વ્યક્તિઓ તંદુરસ્તીથી ભરપૂર, અપર બોડીની મજબૂતાઈ ધરાવતાં, નુકસાનકારક સ્ટ્રેસ વગરના, સામાન્ય બીમારીઓનો સમયકાળ બહુ ઓછો, testosterone લેવલ હાઈ હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધુ ધરાવતા હોય છે. આવા macho ફેસિયલ ફીચર ધરાવતા લોકો તંદુરસ્ત વધુ જણાતા હોય છે. પણ આવા સુંદર પૌરુષવાળું વ્યક્તિત્વ થોડી કિંમત ચૂકવીને મળતું હોય છે. હેલ્થી અને સ્ટ્રોંગ હોવા છતાં સ્ત્રીઓ ઇચ્છતી હોય છે તેવી લૉંગ ટર્મ રોમૅન્ટિક પાર્ટનરશિપ માટેની ક્વૉલિટી બાબતે થોડા ઉણા ઊતરતા હોય છે.

ઓછાં મેસ્કયુલિન ફીચર ધરાવતા લોકોની સરખામણીએ macho men શૉર્ટ ટર્મ સંબંધ માટે રુચિ ધરાવતાં, ઓછા વફાદાર જણાતા હોય છે. હાયર લેવલ testosterone ધરાવતા લોકો એમના પાર્ટનર અને બાળકોમાં સમય અને સંપદા ઓછી ફાળવતા જણાયા છે, ઈમોશનલી ઠંડા, અવિશ્વાસુ અને ક્યારેક બેડ ફાધર જણાતા હોય છે. ટૂંકમાં એમને બીજારોપણમાં રસ વધુ પછીની જવાબદારીઓ નિભાવવી બહુ ગમે નહિ. સ્ત્રીને લોંગ ટર્મ રીલેશનશીપમાં વધુ રસ હોય તે સ્વાભાવિક છે. કારણ બાળક પેદા કરી એને ઉછેરવાની મહત્તમ જવાબદારી કુદરતે એને સોંપી છે. એક તો ગર્ભવતી થયા પછી તરત જ નવ મહિનાનો લાંબો ગાળો થોડી અસહાયતા અનુભવાય. એટલીસ્ટ નવ મહિના તો બીજ રોપનારનો સહારો, ટેકો અને હૂંફ તો જોઈએ જ.

બાળક જન્મ પછી પણ બહુ લાંબો ગાળો એને પગભર થવા જોઈતો હોય છે. એટલે લાંબો સમય પુરુષ એની મદદમાં ટકી રહે તો કામનું. સાથે સાથે લગ્નવ્યવસ્થા હાજર છે તો અહીં પશ્ચિમના સ્વતંત્ર સમાજમાં સ્ત્રીઓ માટે સિરિઅલ મનોગમી શરુ થઈ છે. લગ્ન કરો, ડિવોર્સ લઇ લો અને ફરી બીજા પુરુષ સાથે લગ્ન કરો આ સિરિઅલ મનૉગમી એક જાતની પૉલીગમી જ કહેવાય.

તિબેટમાં સ્ત્રીઓ પૉલીગમી આચરે તેને પૉલીએન્ડ્રી કહેતા હોય છે. અહી તિબેટ્માં સિરિઅલ મનૉગમી જેવું છે નહિ. અહી ઘરમાં બે-ચાર ભાઈઓ હોય તો ચારે ભાઈઓ વચ્ચે એક જ પત્ની હોય છે. ઘરે રહેતા કામ પર બહુ ના જતા નાના ભાઈઓ દિવસે સંસર્ગ કરી લેતા હોય છે. ક્યારેક વિધુર બનેલા પિતા પણ આમાં જોડાઈ જતા હોય છે. આમ મેસ્કયુલિન પાર્ટનર પસંદ કરવામાં સ્ત્રીને વેપારમાં ખોટ જતી હોય છે. પણ પાછો આવો પુરુષ ભવિષ્યમાં મજબૂત બાળકો આપી શકે છે તે પણ અગત્યનું છે.

આમ macho men પસંદગીનાં ફાયદા ગેરફાયદા હોય છે. અવિશ્વાસુ હોવા છતાં સ્ત્રીઓ શા માટે આવી પસંદગી કરવા મજબૂર થઈ જતી હશે? જે સ્ત્રીઓ પોતે તંદુરસ્તી બાબતે નબળી હોય તે તો ખાસ આવા પુરુષોને પસંદ કરતી જોવા મળી છે. અને ખાસ તો આવા પુરુષો દ્વારા પેદા થતા બાળકો મજબૂત રોગપ્રતિકારક શક્તિઓ લઈને પેદા થતા હોય છે. એટલે આમ તો લૉન્ગ ટર્મ રીલેશનશીપ માટે પ્રેમાળ અને કાળજી રાખનાર પુરુષ સ્ત્રીની પહેલી પસંદગી હોવી જોઈએ અને હોય છે પણ ખરી.

આમ છતાં આવા મસ્ક્યુલિન પુરુષો અવિશ્વાસુ હોવા છતાં સ્ત્રીઓ એમને પસંદ કરવા મજબૂર થઈ જતી હોય છે અથવા એમના પ્રતિ આકર્ષાઈ જતી હોય છે એનું પગેરું કીટાણુ પ્રત્યેની સૂગ(pathogen disgust) કે નફરતમાં જોવા મળે છે તેવું ગ્લાસગો યુનીવર્સીટીના Benedict Jones અને તેમની ટીમને અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે. કીટાણું પ્રત્યેની સૂગ સ્ત્રીઓને મસ્ક્યુંલિન વૉઇસ, ફેસ અને શરીર પ્રત્યે આકર્ષી શકે તેવી શક્યતા રહેલી છે.

આ ટીમે ત્રણ અભ્યાસ કર્યા હતા. અમુક સ્ત્રીઓને પ્રશ્નપત્રો અપાયા. એમને એમની ત્રણ પ્રકારની સૂગ પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવવાની હતી. ૧) moral disgust નૈતિક સૂગ જેવી કે કોઈ મિત્ર છેતરતો હોય ૨) sexual disgust સેકસુઅલ સૂગ જેવી કે બે સાવ અજાણ્યા સેક્સમાં ઊતરે ૩) pathogen disgust કીટાણું પ્રત્યેની સૂગ જેવી કે કૂતરાના મળ ઉપર પગ પડી જાય. કોઈને છેતરવા જેવું અનૈતિક આચરણ કોઈ મિત્ર કરે તો આપણને નફરત થતી હોય છે. કોઈ સાધુ મહારાજ કામલીલા કરતા પકડાય ત્યારે પણ નફરત થતી હોય છે અને કોઈના મળ ઉપર પગ પડી જાય ત્યારે જબરી સૂગ ચડતી હોય છે. આ અભ્યાસમાં સ્ત્રીઓએ જરાય સૂગ ના ચડે ત્યાં ૦ માર્ક્સ આપવાનો હતો અને ભયંકર સૂગ ચડે ત્યાં ૬ માર્ક્સ આપવાનાં હતા. આમ જુદી જુદી સૂગ પ્રત્યે સ્ત્રીઓની સંવેદનશીલતા કેટલી છે તે મપાઈ જવાનું હતું.

હવે આજ સ્ત્રીઓને પહેલા અભ્યાસમાં ૬ પુરુષ જોડીઓના અવાજ કેટલા અને કયા અટ્રૅક્ટિવ લાગે છે બતાવવાનું હતું. એક જ રેકૉર્ડિંગને મેસ્કયુલિન (lower-pitched) અને feminine (higher-pitched) માં તબદીલ કરેલું હતું. બીજા અભ્યાસમાં જુદી જુદી સૂગ macho ફેશલ ફીચર અને મસ્ક્યુલર બૉડી પસંદગીમાં જવાબદાર હોય છે કે નહિ તે તપાસવાનું હતું. અહીં પુરુષોની “high masculinity” and “low masculinity ઇમેજ ઉપર રેટિંગ આપવાનું હતું.

અહીં ચાર ઑપ્શન અપાયા હતા. “much more attractive,” “more attractive,” “somewhat more attractive,” and “slightly more attractive.” ત્રીજા અભ્યાસમાં જે સ્ત્રીઓ કોઈ પુરુષ સાથે જોડાયેલી નહોતી તેઓએ એમના આઇડિઅલ પાર્ટનરની masculinity ને રેટ આપવાનો હતો અને જે સ્ત્રીઓ ઑલરેડિ પાર્ટનર ધરાવતી હતી તેઓએ એમના આઇડિઅલ અને ઍક્ચુઅલ પાર્ટનરની masculinity ને રેટ આપવાનો હતો.

આટલી બધી જધામણ પછી સંશોધકોને જાણવા મળ્યું કે જે સ્ત્રીઓ કીટાણું પ્રત્યે સૂગ વધુ ધરાવતી હતી, વધુ સંવેદનશીલ હતી તેઓએ ઍક્ચુઅલ અને આઇડિઅલ બંને પાર્ટનરમાં macho ફેશલ ફીચર, લો-પિચ વૉઇસ અને સ્નાયુબદ્ધ શરીરને વધુ પસંદગી આપી હતી. મૉરલ અને સેકસુઅલ સૂગ macho ફીચર અને રોમૅન્ટિક પાર્ટનર પસંદગી માટે અર્થપૂર્ણ ધારણા બાંધી શકાય તેવી જણાઈ નહોતી. આમ એવું કહી શકાય કે જે સ્ત્રીઓને બીમારી ફેલાવે તેવા જીવજંતુઓ પ્રત્યે ભયંકર સૂગ ચડતી હોય તેવી સ્ત્રીઓ મજબૂત સ્નાયુબદ્ધ શરીર ધરાવતા પુરુષો પ્રત્યે વહેલી આકર્ષાઈ જતી હોવી જોઈએ. જેથી ભવિષ્યમાં એના દ્વારા પેદા થતા બાળકો મજબૂત અને સારી ઇમ્યૂન સિસ્ટમ ધરાવતા જલદી બીમાર નાં થાય તેવા પેદા થવાની શક્યતાઓ વધી જાય.

મારું કહેવાનું તાત્પર્ય એ છે કે સ્ત્રી પુરુષોના અવાજ, મુખારવિંદ અને સ્નાયુબદ્ધ શરીરની masculinity તરફ આકર્ષાય છે જાણતાં કે અજાણતાં એની પાછળનો મૂળ હેતુ એના ભવિષ્યમાં મળનારા બાળકો મજબૂત અને જલદી બીમાર નાં પડે તેવી એને આશા હોય છે. સ્ત્રીને ઓછી masculinity ધરાવતા પુરુષો લાંબા સહવાસ માટે ગમતા હોય છે કારણ એના બાળકોને એક પ્રેમાળ પિતા મળે જે કાયમ માટે એમને સાચવે. બસ આ વિરોધાભાસમાં સ્ત્રી કાયમ જીવતી હોય છે.

પક્ષીઓ મનૉગમી માટે પ્રખ્યાત હોય છે. મોટાભાગના પક્ષીઓ મનૉગમસ હોય છે, કાયમ જોડી બનાવીને જીવતા હોય છે. પણ વૈજ્ઞાનિકોએ ત્યાં પણ ખણખોદ કરી જોઈએ. ૪૦ ટકા પક્ષીઓના બચ્ચા એમની માતા કાયમ જોડી બનાવીને રહેતી હતી તેમના દ્વારા પેદા થયેલા નહોતા. મતલબ આ માદા પક્ષી ગુપ્ત રીતે બીજા નર પક્ષી સાથે સંસર્ગ કરાવી ઈંડા મૂકતી હતી. અને સચ્ચાઈ એ છે કે પેલો કહેવાતો પરણ્યો પોતાના બચ્ચા છે તેવું માની પારકા જેનિસની સારસંભાળ રાખ્યા કરતો હતો.

પુરુષને આપણે ભમરાની ઉપમા આપીએ છીએ તેમાં કોઈ શક જ નથી. સ્ત્રી લગભગ એક પુરુષ સાથે ટકી રહેવા આતુર હોય છે. એની પાછળ એનું માતૃત્વ જવાબદાર છે, સ્ત્રી masculinity તરફ આકર્ષાઈ જાય છે તેની પાછળ એનું માતૃત્વ જવાબદાર છે. સ્ત્રી ‘મૈ તુલસી તેરે આંગનકી’ કહી આખી જિંદગી દુખ વેઠવા તૈયાર હોય છે એની પાછળ એનું માતૃત્વ જવાબદાર હોય છે. સ્ત્રી ક્યારેક બેવફાઈ આચરે છે એની પાછળ પણ એનું માતૃત્વ છુપાયેલું છે જો સમજાય તો?

પણ આપણા પુરુષ પ્રધાન સમાજમાં તમામ બંધનો સ્ત્રીઓ માટે હોય છે. ૮૦ વર્ષનો ડોસો પણ ‘કચ્ચી કલી કચનાર કી’ ગાતો ગાતો ૧૬ વર્ષની સુંદરીની પાછળ વૃક્ષની આજુબાજુ હાંફતો હાંફતો ફરતો હોય છે. પણ સ્ત્રીએ તો સતિ સાવિત્રીબેન જ બનીને રહેવાનું. નહી તો પછી અગ્નિપરીક્ષા માટે તૈયાર હો જાઓ….જોહ્ન અબ્રાહમ અને સલમાનખાન કોને નથી ગમતા? પણ ભારતીય નારી થી બોલાય ખરું? એમના ખોં…ખોં…ખોં કરતા પતિદેવની વેધક નજર અગ્ન્યાસ્ત્ર જેવી જલદ હોય છે, જીવતા બાળી નાખે.

પુરુષપ્રધાન સમાજની માનસિકતાએ તો આપણા સાઇકાયટ્રિસ્ટ પણ એમની કૉલમમાં સફેદ જૂઠ જાણતા કે અજાણતાં લખશે કે પુરુષ પૉલીગમસ છે અને સ્ત્રી મનૉગમસ માટે મિત્રો ચિંતા નાં કરો તમારી પત્નિઓ બીજે જવાની નથી તમ તમારે જેટલા ફૂલના રસ ચૂસવા હોય તેટલા ચૂસો. કારણ આવું લખેલો આર્ટિકલ ટેબલ ઉપર આવે તો તંત્રીને પણ નિરાંત થઈ જાય કે ભલે ઑફિસમાં મોડી રાત સુધી કામ ચાલે ઘેર કાઈ ચિંતા જેવું નથી કેમકે એક ઍક્સ્પર્ટ ડૉકટરે કહી દીધું ઑથેન્ટિક થઈ ગયું. પુરુષ પ્રધાન માનસિકતા છે એવું કહેવું કે પુરુષ પૉલીગમસ છે અને સ્ત્રી મનૉગમસ. કુદરત પાગલ નથી. એક જ પ્રજાતિમાં નર પૉલીગમસ હોય અને માદા મનૉગમસ હોય તેવો ભેદભાવ કુદરત શું કામ કરે? એણે કર્યો પણ નથી.. હોય તો બંને પૉલીગમસ હોય અથવા બંને મનૉગમસ હોય. એક જાણીતા સાઇકાયટ્રીસ્ટ મહાશયે એમનાં નિયમિત આવતા સ્તંભ લેખમાં લખેલું કે સ્ત્રી મનૉગમસ હોય છે અને પુરુષ પૉલીગમસ હોય છે.

પૉલીગમી નેચરલ છે અને મનૉગમી સામાજિક જરૂરિયાત છે.

તો મિત્રો આમાંથી શું સાર લીધો? અરે! બુદ્ધિના સાગરો ઉઠાવો ડમ્બેલ્સ કરો કસરત અને બનો સંતાનોની કાળજી રાખનાર પ્રેમાળ પિતા. સવા અબજ થઈ ગયા છો હવે ભમરા બનવાની ક્યાં જરૂર છે? તમને એક ડાળે વળગી રહેલા ફૂલની કદર કરો. મિત્રો આ એક વાક્ય લખવા માટે મારે કેટલી બધી જહેમત કરવી પડી? સીધે સીધું લખી દઉં તો માનો ખરા?

મતવાલી નાર ઠૂમક ઠૂમક ચલી જાયે ( આ તો ફ્રૉઇડ જાણતો જ નહોતો)

” ગોરી ચલોના હંસકી ચાલ, જમાના દુશ્મન હૈ” કે “મતવાલી નાર ઠૂમક ઠૂમક ચલી જાયે”, આવા ફિલ્મી ગીતો સાંભળીયે તો આશાપારેખ, નંદા કે સ્નેહલતા જેવી વિશાલ નિતંબ ધરાવતી અભિનેત્રીઓની હીંડછા એટલે કે ચાલવાની ઢબ શિકારને લલચાવવા પાંજરામાં મૂકતાં ખાજ જેવી લાગે.

સ્ત્રીને ગમતું હોય કે ના ગમતું હોય પણ જ્યારે તે અંડ મોચન(ovulation) અવસ્થામાં હોય ત્યારે એના હાવભાવ બદલાઈ જતા હોય છે. બીજા મૅમલ્સની જેમ  હ્યુમન માદા પણ જબરદસ્ત કામજ્વર અનુભવતી હોય છે. આપણાં પ્રાચીન પૂર્વજો ચિમ્પૅન્ઝી કે એવા બીજાની જેમ હ્યુમનમાં ઑવુલ્યેશન પ્રગટ જાહેરાત કરતું નથી હોતું. આ પ્રાણીઓના જેનિટલ ભાગ સૂજીને ગુલાબી થઈ ગયા હોય છે. સ્ત્રીમાં સમજ પડે નહિ કે તે આ અવસ્થામાંથી પસાર થઈ રહી છે. સ્ત્રીને તો ખબર હોય પણ પુરુષને ખબર પડે નહિ.

સ્ત્રીઓ concealed ovulation માટે ઈવૉલ્વ થયેલી છે. પ્રછન્ન અંડ મોચન અવસ્થા ધરાવતી સ્ત્રી, પુરુષ માટે કાયમ ધારણા બાંધવા પ્રેરતી હોય છે કે તેને ગર્ભવતી બનાવવાનો ઉત્તમ સમય કયો? આ એક એનામાં લાંબા સમય સુધી સેકસુઅલ ઇંટરેસ્ટ જાળવી રખાવાની યુક્તિ છે. પ્રાણીઓમાં તરત ખબર પડી જાય કે બહેનબા હીટમાં છે. જબરો નર સ્પર્મદાન કરી રવાના થઈ જાય. જવાબદારી પૂરી.

માનવમાં લાંબા સમયની રિલેશનશીપ જરૂરી છે. એકલાં હાથે જેનિસ ઉછેરવા મુશ્કેલ હોય છે. કારણ માનવબાળ બહુ લાંબો સમય મોટા થવા માબાપ પર આધારિત રહેતું હોય છે. બીજા પ્રાણીઓના બચ્ચા બે કલાકમાં ઉભા થઈ જતા હોય છે. એકબે વર્ષમાં તો પુખ્ત જેવા બની જતા હોય છે. એટલે માનવ નર જાણતો ના હોય કે માદા સૌથી વધુ ફળદ્રુપ ક્યારે છે ત્યારે તે હંમેશા એને ગર્ભવતી બનાવવા પાછળ પાછળ ફરતો હોય છે એને તરછોડીને જતા રહેવાને બદલે.

આમ લગભગ ગુપ્ત અંડમોચન અવસ્થા પુરુષને સ્ર્ત્રી સાથે લાંબો સમય ચોટાડી રાખવાની ઉત્ક્રાંતિની યુક્તિ કામ લાગી જાય છે. છતાં આ કામજ્વર સાવ છૂપો પણ હોતો નથી. તે સમયના એના ઠાઠમાઠ  એની ચાડી ખાતા હોય છે. ઑવ્યુલેશન વખતે જે હૉર્મોનલ કૉકટેલ સેવામાં ઊતરતા હોય છે તેને સ્ત્રી વશ થઈ જતી હોય છે. તેનું બોલવાનું  હાઈ પીચમાં થઈ જતું હોય છે, એની સૂંઘવાની શક્તિ બેટર બની જતી હોય છે. બ્લડ વૅસલ ઍક્ટિવિટિ વધી જવાથી મુખ પર લાલી છવાઈ જતી હોય છે. સેક્સી દેખાય તેવા કપડા પહેરતી હોય છે. બાલ સવારવા, સ્ટાઇલથી  બાલ ઉછાળવા, ઝૂકી ઝૂકીને બોલવું વગેરે અચેતનરૂપે થતું હોય છે.

Gueguen નામના વૈજ્ઞાનીકે ૧૦૩ સ્ત્રીઓ ઉપર પ્રયોગ કરેલો. આ સ્ત્રીઓને ખબર નહોતી કે તેમની ઉપર આવો પ્રયોગ થઈ રહ્યો છે. ઍક્ટર જેવા દેખાતા હૅન્ડસમ પુરુષો આ પ્રયોગમાં સામેલ કરેલા. પ્રયોગનો મૂળ હેતુ હતો ઑવુલ્યેશન સમયે સ્ત્રીઓની ચાલવાની સ્ટાઇલ બદલાય છે કે નહિ તે જોવાનું હતું. હિડન કૅમરા અને કમ્પ્યૂટર પણ આમાં વપરાયેલા. સ્ત્રીઓના Luteinizing Hormone (LH)  જે લાળમાં હોય છે તેના લેવલ પણ ચેક કરવામાં આવેલા. આ સમયે સ્ત્રીની ચાલ ધીમી અને ખૂબ સેક્સી જણાઈ હતી. આ સમયે સ્ત્રીનું વર્તન અટ્રૅક્ટિવ અને સેક્સી બની જતું હોય છે.

મૂળ તો માનવ બે પગે ઊભો થઈ ગયો એટલે જેનિટલ અંગો પ્રાણીઓની સરખામણીએ જરા ગુપ્ત થઈ ગયા. વળી એમાં કપડા પહેરવાનું શરુ થઈ ગયું. એટલે લાલ રંગનું ઑવુલ્યેશન હિડન થઈ ગયું, કંસીલ્ડ થઈ ગયું. પરંતુ ‘મતવાલી નાર ઠૂમક ઠૂમક ચલી જાયે’ ત્યારે સમજનારા સમજી જાય, વીર પુરુષો તરત સમજી જાય કે હવે સમય થઈ ગયો છે, પ્રેમમાં પડવાનો કે પાડવાનો.

 

 

ઠગ અને પીંઢારા

thugeeઠગ અને પીંઢારા

૧૯૪૭ની વાત છે. ઈંગ્લેન્ડના વડાપ્રધાન ઍટલીએ ભારતને સ્વતંત્રતા આપવાનું ઠરાવી દીધું ત્યારે, બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનને જિતાડનાર પણ પછીની ચૂંટણીમાં હારી જનાર માજી વડાપ્રધાન ચર્ચીલે ઍટલીને કહેલું કે તમે ભારતને પાછો ઠગ અને પીંઢારાઓને સોંપી રહ્યા છો. આ વાક્ય મશહૂર થઈ ગયું હતું. ચાલો એમાંથી પીંઢારા તો ઇતિહાસ નહિ જાણનારી પ્રજા માટે વીર ફિલમ બની અને હીરો બની ગયા; હવે ઠગ ઉપર કોઈ ફિલમ બનાવે તો તે પણ હીરો બની જાય. ઠગ અને પીંઢારા ખતરનાક લુટારા હતાં; કોલ્ડ બ્લડેડ મર્ડરર હતાં. એ કોઈ સ્વતંત્રતાનાં લડવૈયા નહોતાં. ‘વીર’ ફિલ્મની વાર્તા કાલ્પનિક છે એમાં ઇતિહાસનો છાંટો પણ નથી.

ચાલો આ ઠગ અને પછી પીંઢાંરાનો પરિચય મેળવી લઈએ. પેંઢાર, પિંડારા તરીકે ઓળખાતા લુટારાની જેમ આ ઠગ લોકો પણ એક જાતના લુટારા જ હતા. ૧૩મી સદીમાં પણ આ લોકોનો ઉલ્લેખ મળે છે. પીંઢારા કરતા આ ઠગ લોકોનો ઉદ્ભવ વહેલા થયેલો, અને લગભગ ૧૯મી સદી સુધી એમનો ઉપદ્રવ રહેલો. પીંઢારાની જેમ આ લોકોનો સફાયો કરવાનું બહુમાન અંગ્રેજો લઈ જાય છે. પીંઢારાની સાથે સાથે આ લોકોનો પણ એ સમયે સુવર્ણ કાલ ચાલતો હતો. પીંઢારા એક તોફાન, એક બવંડર ની જેમ આવતા, જ્યારે આ ઠગ લોકો એકદમ ગુપચુપ શાંત ધરતીકંપની જેમ વિનાશ વેરી ચાલ્યા જતા.

તમે પ્રખ્યાત ગુજરાતી થ્રિલર લેખક હરિકિશન મહેતાની પ્રખ્યાત નવલકથા ‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’ વાંચી હશે? ઠગ એક ગુનેગાર જાત હતી એને એક ધાર્મિક કલ્ટનું સ્વરૂપ આપી દીધેલું. આ લોકો મહાકાલીના ભક્ત હતા. ઠગ લોકોમાં હિંદુ તથા મુસ્લિમ લોકો પણ હતા તો સાથે સાથે એમાં થોડા શીખ ઠગ પણ નોંધાયેલા છે. ઠગ લોકો ખુબજ હોશિયાર, મક્કમ મનોબળ વાળા, વેશ પરિવર્તનમાં કાબેલ, નૃત્ય અને સંગીત કાળમાં નિષ્ણાત, રાંધણ કળામાં પણ નિષ્ણાત હતા. આ બધું એમને ધંધાના ભાગ રૂપે કોઈ સારા ઠગ ગુરુ પાસેથી શીખવું પડતું.

એમની મોડસ ઓપરેન્ડી જોઈએ. કોઈ વેપારી કે કોઈ શ્રીમંત ફેમિલી બીજે ગામ જતું હોય એની ભાળ મેળવી લેવામાં આવતી. એ જમાનામાં વેપાર વણજારો દ્વારા મતલબ કૅરેવાન દ્વારા ચાલતો. કોઈને લગ્ન પ્રસંગે જવું હોય ત્યારે પણ આવી રીતે જ પ્રવાસ કરવો પડતો. ઠગ લોકો ૨૫ કે ૫૦ના જૂથમાં આ વણજાર કે વેપારીની સાથે વેશ બદલી સામેલ થઈ જતા. શરૂઆતમાં કોઈ વિશ્વાસ ના રાખે, પણ જાતજાતની વાર્તા બનાવી એકવાર સાથે થઈ જાય પછી, વિશ્વાસ જીતવાની કળામાં નિષ્ણાત આ લોકોને અંદર ભળી જતા વાર ના લાગતી. વિશ્વાસ જીતવા અને અનુકૂળ મોકાની રાહ જોવાની જબરદસ્ત ધીરજ ધરાવતા, માઇલો સુધી સાથે પ્રવાસ કરતા કોઈને ખ્યાલ ના આવે કે એક દિવસ સત્યાનાશ થવાનો છે. રાતે નાચ ગાન કરતા અને સરસ ખાવાનું બનાવી શિકારને જમાડતા ને ખુશ કરી દેતાં. લગભગ મોટા ભાગે રાતે બધા જમીને આરામ કરતા હોય કે ખરા બપોરે ઝોકું ખાતા હોય ત્યારે મોકો લઈ લેતા. સરદાર કોડવર્ડ બોલતો તમાકુ લાવો(Time To Kill) ને બધા તૈયાર થઈ જતા. વણજારના મજબૂત માણસોની નજદીક એક એક માણસ ગોઠવાઈ જતો. અને બીજા કોડવર્ડની સાથે એકાએક દરેક ઠગના હાથમાં છુપાવેલો પીળા રંગનો રેશમી રૂમાલ આવી જતો ને દરેક શિકારના ગળે સજ્જડ ફાંસો આપી દેવાતો. મજબૂત ઠગના મજબૂત હાથમાંથી છૂટવું મુશ્કેલ. શિકાર મજબૂત હોય એની ખાતરી તો અગાઉથી જોડે રહેતાં જ ખબર પડી જાય. એટલે એવા મજબૂત શિકારનાં પગ પકડી રાખવા એક વધુ માણસ અગાઉથી જ ગોઠવાઈ જતો. બસ પછી કોઈ પ્રતિકાર કરનારું ના રહે એટલે સ્ત્રીઓ અને બાળકો સુધ્ધાને મારી નાંખવામાં આવતા અને મૃતદેહોને કૂવામાં કે જમીનમાં દાટી દેવાતાં. લૂંટનો માલ લઈને પછી ગુમ થઈ જવાનું. આ લોકોની ઠંડી ક્રૂરતા એવી કે રસાલામાંથી કોઈને જીવતો રહેવા દેતાં નહિ. નાના બાળકની દયા પણ આ લોકોને આવતી નહિ.

ઠગ લોકોને ઠગ વિદ્યા મહાકાલી માતાએ શીખવી છે એવું ઠગ લોકો માનતા હતા, અને એમાં માતાના આદેશ મુજબ લોહી વહાવ્યા વગર હત્યાઓ થવી જોઈએ. અને બધી હત્યાઓ માતાજીની બલી રૂપે માનવામાં આવતી. એટલે ઠગ લોકો ગાંઠ મારેલા રૂમાલને ગળે વીંટીને હત્યા કરતા. એમાં બીજો ઠગ શિકારના પગ પકડી રાખતો. રૂમાલ પણ ખાસ ખાખી કલરનો પીળાશ પડતો હોય. પાપ ને ધાર્મિકતાનો રંગ ચડાવી દેવાથી જોયું કેવું પુણ્ય બની ગયું? ધાર્મિક લોકોએ જેટલા પાપ કર્મો કર્યા હશે એટલાં નાસ્તિક લોકોએ નહિ કર્યા હોય. ધાર્મિક લોકોએ જેટલી માનવ હત્યાઓ કરી હશે એટલી નાસ્તિકોએ કદાપિ નહિ કરી હોય.

ઈ.સ.૧૭૯૦ થી ૧૮૦૩ સુધીમાં એક જ બેહરામ નામના ઠગે ૯૩૧ કતલ કરેલી છે. રામસિંઘ નામનો એક શીખ ઠગ પીંઢારા સાથે મળીને કામ કરતો હતો. એણે શેખ દુલ્લો નામના પીંઢારાની હત્યા પણ કરેલી. એક સામટી હત્યાઓ કરવા માટે ગજબનું પ્લાનિંગ, પરફેક્ટ ટીમ વર્ક જોઈએ. એ ઠગ લોકો પાસે જન્મજાત હતું. આ લોકો ભયાનક સિરિયલ કીલર્સ હતાં. આ લોકોને હત્યા ના કરે તો ઘણી વાર ચેન ના પડે. એમ આ લોકો માનસિક બીમાર પણ કહેવાય ને આ બીમારી પેઢી દર પેઢી વારસામાં મળતી હતી. ઠગ અને પીંઢારા ભારતના ઇતિહાસનું એક કાળું પાનું, કલંક હતા. સમાજના આ લોકો દુશ્મનો હતા. પીંઢારાનો નાશ કર્યા પછી અંગ્રેજોએ એક માસ્ટર પ્લાન બનાવ્યો. ૧૮૩૫માં વિલિયમ હેનરી સ્લીમેન નામના સિવિલ સર્વિસ મેનને “ઠગ અને ડકૈત” વિભાગ રચીને એના સુપ્રિન્ટેન્ડેન્ટ બનાવ્યો. સ્પેશલ ડેડીકેટેડ પોલીસવાળાઓનો એક ફોર્સ રચ્યો. જાસૂસો રોક્યા. બહુ મોટા પાયે ઝુંબેશ ચલાવી. હજારો ઠગોને જેલમાં નાખ્યા. પકડેલા ઠગોને છોડવાના વચનો આપી જાસૂસ બનાવી વધારે માહિતી કઢાવી અને હજારો ઠગોને ફાંસી લટકાવી દીધા જરાપણ દયા રાખ્યા વગર. ૧૮૩૯મા એજ વિલિયમ હેનરી આ વિભાગના કમિશ્નર બન્યા. ૧૮૭૧માં ક્રિમિનલ ટ્રાઈબ એક્ટ ઑફ ૧૮૭૧ આવ્યો. ઠગ અને ડકૈત વિભાગ, ભારત સ્વતંત્ર થતા વિખ્યાત સિ.આઈ.ડી. ખાતા તરીકે પરિવર્તીત પામ્યો. લગભગ મોટા ભાગે આ ઠગ કલ્ટ ૧૮૭૦ સુધીમાં લુપ્ત થયો. આ હતા મહાકાલીના ભક્તો, માસ્ટર માઈન્ડેડ, કોલ્ડ બ્લડેડ મર્ડરર. બધા મહાકાલીના ભક્તો ઠગ ના હતા.

ચાલો હવે પીંઢારા વિષે જાણીએ. ‘વીર’ ફિલ્મને ભૂલી જાઓ.

 

આપણે સ્કૂલમાં સામાન્ય ઇતિહાસ તો ભણીએ જ છીએ. હું પણ સ્કુલમા ભણ્યો ત્યારે ઇતિહાસમાં આવતું હતું કે આ પીંઢારા લુટારા હતા. છતાં જાણે કોઈ જાણતું જ નહોય તેમ લાગે છે.

ઇતિહાસકાર ગોવિંદ સરદેસાઈ એક જાણીતા મરાઠી યુગના ઇતિહાસકાર છે. પીંઢારાનો સામાન્ય ઇતિહાસ એમણે નોંધેલો છે. પીંડારી એટલે પીંઢારા, ભયાનક લુટારાઓની અવેજમાં પણ આ શબ્દ વપરાય છે. આ શબ્દ આપણે અવારનવાર સાંભળી ચૂક્યાં છીએ. મુસલમાન ઇતિહાસકાર ફીરીસ્થા એ ઈ.સ.૧૬૮૯માં નોંધ્યા મુજબ ઔરંગઝેબના લશ્કરમાં મુસલમાન પઠાણોની અમુક ટુકડીઓ સામાન્ય નાના નાના કામો માટે રાખવામાં આવતી હતી. ખાસ તો ભારતનો દક્ષિણ વિભાગ જીતવા માટે ઔરંગઝેબ નીકળેલો ત્યારે. મુસલમાનો નબળા પડ્યા ને મરાઠાઓ મજબૂત થયા ત્યારે આ ટુકડીઓ મરાઠાઓના લશ્કરમાં કામ કરવા લાગી. છત્રપતિ શિવાજી સુધી તો એમની સેવાઓ લેવામાં આવી નહોતી. પણ પેશ્વા બાલાજી રાવે ગર્દીખાનની રાહબરી નીચે આ લોકોને સેવામાં રાખ્યા. આ લોકોનું કામ યુદ્ધ પત્યા પછી સામી છાવણીઓમાં આતંક ફેલાવવાનું અને લૂંટ ફાટ મચાવી બધું સળગાવી દેવાનું રહેતું. એ હિસાબે પીંડારી એટલે પીંઢારાનો જન્મદાતા ઔરંગઝેબ અને એમનો વિકાસ કરનારા પાલનહાર એટલે મરાઠા.

૧૮મીસદી સુધી આ બર્બર, અતિશય ક્રૂર, ભયાનક લુટારાઓ બરુન અને હીરો નામના બે સરદારોની આગેવાની હેઠળ બેરારના રાજા અને ભોપાલના નવાબની સેવા કરતા હતા. આ રાજાઓ અને નવાબોની નિયત પણ ખોરી જ હતી. બરુન બેરારના રાજાની જેલમાં જ મૃત્યુ પામ્યો. ત્યાર પછી કરીમ ખાન, ચિટો, વસિલખાન અને દોસ્ત મહમદ નામના સરદારો ઉભા થયા. મોટા ભાગે આ લોકો પઠાણો હતા પણ સ્થાનિક પછાત જાતિઓ પણ આમાં ઉમેરાતી હતી, ખાસ તો આદિવાસીઓ, રોહિલ્લા પણ ખરા. લુટારાઓની કોઈ જાત હોતી નથી. નર્મદાનો ખીણ પ્રદેશ આ લોકોનો ગઢ હતો. સિંધિયા, હોલકર, ભોપાલના નવાબ, નાગપુરના ભોંસલે આ બધા આ લુટારાઓની સેવા લેતા. એમને કોઈ ખાસ વેતન નાં મળે. એક બીજાના વિસ્તારમાં જઈ લૂંટ ફાટ કરવાની. ૧૮૦૬માં કરીમખાનને સિંધિયાએ કેદ કરેલો ત્યારે એના ભત્રીજા નામદાર ખાને લૂંટફાટ ચાલુ રાખેલી, અને ૬ લાખ રૂપિયા આપી ને કરીમખાનને છોડાવેલ.

મરાઠાઓ નબળા પડ્યા હતા. એટલે એમનો આ લોકો ઉપરનો કાબુ જતો રહેલો. લશ્કરમાં કોઈ કામ હોય નહિ. પાસે ઘોડો હોય એટલે જેતે સરદારના હાથ નીચે ઘૂસી જવાનું. આ લોકોના ગ્રૂપને દુરાહ અથવા બેન્ડ કહેવામાં આવતું, એનો એક નેતા હોય. હોલકરના પક્ષમાં કામ કરતો હોય તે પીંઢારા હોલકર શાહી ને સિંધિયાના પક્ષમાં હોય તે પીંઢારા સિંધિયા શાહી તરીકે ઓળખાતા. ચિટોના હાથ નીચે ૧૦,૦૦૦, કરીમ ખાનના હાથ નીચે ૬૦૦૦, દોસ્ત મહમદના હાથ નીચે ૪૦૦૦ ઘોડા મતલબ માણસો કામ કરતા. હોલકર શાહી હોય તે સિંધિયાના તાબાના ગામોમાં લૂંટ ચલાવતા. એમ બધા એક બીજાના ગામોમાં લૂંટ ચલાવતા. પણ બધા એકના એક.

નર્મદા ખીણ પ્રદેશમાં દશેરા ઉપર બધા ભેગાં થાય. બધી ટુકડીઓના સરદારો ભેગાં થઈ નિર્ણય લે અને એક ખાસ નેતા ચૂંટે એને લાભુર કહેવાય. ખાસ તો નીમવારમાં ભેગાં થતા. રેડ પાડવાની, મતલબ ગામ ભાગવાની સ્ટ્રેટેજી તૈયાર થાય. શિયાળામાં યોજના મુજબ જુદી જુદી દિશાઓમાં નક્કી કરેલા ગામો પર હલ્લો બોલાવવાનો. સાત થી આઠ ફૂટ લાંબા ભાલાઓ સાથે ઘોડેસવારો તૂટી પડે. પાછળ સળગાવવાની સામગ્રી સાથે બીજી ટુકડી તૈયાર હોય. સીધા પૈસાદારોના ઘર શોધી કાઢવાના ભયાનક તાંડવ મોતનું શરુ. લૂંટાય તેટલું લૂંટી લેવાનું, સામા થાય એને મારી નાખવાના. સ્ત્રીઓ પર બળાત્કાર કરવાના, અને ટોર્ચરની કોઈ સીમા જ નહિ. ના લઈ જવાય તેવું હોય તેને બાળી નાખવાનું, પાછળથી આખા ગામને સળગાવી દેવાનું. થોડી વાર પછી જુવો તો બધું ઉજ્જડ દેખાય કોઈ માને નહિ કે અહીં કોઈ ગામ હશે. તરતજ બીજે ગામ હલ્લો શરુ. અઠવાડીયાંઓ ઘણી વાર તો મહિનાઓ સુધી અત્યાચાર ચાલે. પછી એમના નર્મદા ખીણ પ્રદેશમાં જતું રહેવાનું. સ્થાનિક વેપારીઓને લૂંટમાં મળેલું ઝવેરાત આપવાનું રોકડી કરવા. આરામથી ખાઈ પીને મોજ કરવાની, ફરી દશેરાએ ભેગાં થવાનું. એમના અત્યાચારોથી બચવા ઘણી સ્ત્રીઓ જાતે આપઘાત કરતી, અને ઘણા ગામ લોકો તો જાતે જ ગામ બાળી ને જંગલોમાં ભાગી જતા. નબળા મરાઠી રાજાઓ કશું કરી શકતા ના હતા. મરો તો પ્રજાનો હતો.

સંતાડેલા ગુપ્ત ધનની માહિતી ઓકાવવા પીંડારા માણસના નસકોરાંમાં અગ્નિ અને ગરમ રાખ ભરતા, એના પર લાકડાનું પાટિયું મૂકી કુદકા મારતા. ના માને તો એના બાળકના તલવાર વડે બે ભાગ કરી નાખતા, અને એની સ્ત્રી પર બળાત્કાર કરતા. વધારે ધન મેળવવા ગામના મુખિયાને પકડી રાખતાને આખી રાત ટૉર્ચર કરતા, એનું એક એક અંગ ધીરે ધીરે કાપતા. ગામ લોકોને વધારે પૈસા ભેગાં કરી લાવવાનું કહેવામાં આવતું ને છેલ્લું અંગ એનું હૃદય કાઢી લેવામાં આવશે એવી ચેતવણી આપવામાં આવતી. આટલી ક્રૂરતા તો કોઈ બીજા સમૂહે ભાગ્યેજ કરી હશે. પીંઢારા લોકોને કયું ગામ અને લોકો વધારે પૈસાદાર છે એની, તથા બીજા પીંઢારા ગ્રૂપ ક્યાં ક્યાં લૂંટ કરી રહ્યા છે તે, તથા લશ્કરી કુમક વગેરેની માહિતી રખડતા ભટકતા ફકીરો ને સાધુઓ આપતા. આ પીંઢારા લોકોમાં મુખ્ય પઠાણો હતા, છતાં જાટ લોકો અને સ્થાનિક આદિવાસી લોકો પણ ભળેલા હતા. પણ એમના નેતાઓ લગભગ પઠાણો જ હતા.

અત્યાર સુધી હોલકર, સિંધિયા, ભોપાલ, નિઝામ, નાગપુર આ બધા રાજાઓ સ્વતંત્ર હતા. અંગ્રેજો પુરા ભારતમાં ફેલાયા નહતા. પીંઢારાઓ એ પ્રથમ વાર ભૂલ કરી ઈ.સ.૧૮૧૨માં અંગ્રેજોની હદમાં મીરજાપુરમાં લૂંટ ચલાવવાની. દોસ્ત મહમદની આગેવાની હેઠળ મીરજાપુર જિલ્લાના રેવાના રાજાની હદમાં ૩૦૦૦ ઘોડેસવારો સાથે ૬ ગામડાઓમાં લૂંટ ચલાવી ને આતંક ફેલાવ્યો. ખાસ તો અંગ્રેજ ટેરીટરી એમને વધારે રીચ સમૃદ્ધ દેખાણી, લૂંટમાં વધારે ધન મળે. અને મળ્યું પણ ખરું. બીજા શિયાળામાં વધારે દાઢ સળકી છેક સુરતમાં ૫૦૦૦ ઘોડેસવારો સાથે મોટી લૂંટફાટ કરવામાં આવી. આમેય સુરતને શિવાજી પોતે બે વાર તો લુટી જ ગયા હતા. શિવાજીને નિંદર ના આવે સુરતને લૂટ્યા વગર.

પણ આ વખતે સુરતમાં અંગ્રેજોનું થાણું હતું. છતાં ફાવી ગયા. હવે હિંમત ખુલી ગઈ હતી. ઈ.સ.૧૮૧૫માં નિઝામની હદ મુસલીપટનમમાં લૂંટ ચલાવી, પણ કૃષ્ણ નદીના હાઈ રીવર ઝોનના લીધે અંગ્રેજોની મદ્રાસ રેસીડેન્સી બચી ગઈ. ઈ.સ. ૧૮૧૬માં ફેબ્રુ અને માર્ચમાં મુસલીપટનમના પશ્ચિમમાં સતત બાર દિવસ છેક ગુંતુર સુધી ૧૪૬ ગામ લૂંટીને હાહાકાર મચાવ્યો. હજારોની કતલ થઈ, સ્ત્રીઓ કૂવામાં પડી ને આત્મ હત્યા કરી. મદ્રાસથી ટ્રૂપ આવે તે પહેલા કૃષ્ણ નદી ક્રોસ કરી નર્મદાની ખીણમાં ઉતરી ગયા.

વિચારો આ કયો સ્વતંત્રતાનો સંગ્રામ હતો? આતો પોતાના દેશવાસીઓને જ લૂટતા હતા. પણ હવે હદ વટાવી ચૂક્યા હતા, અને અંગ્રેજોની હદમાં લૂંટવાનું શરુ થયું હતું. આ નબળા મરાઠી રાજાઓ ના હતા, અંગ્રેજો હતા. મરાઠી રાજાઓની દાનત જ ખોરી હતી. પોતાની પ્રજાને લૂંટી હોય એમાંથી પણ આ રાજાઓ પીંઢારા પાસેથી ભાગ પણ મેળવતા હતા. લૉર્ડ હેસ્ટીગ્સે પ્લાન તૈયાર કર્યો, સિંધિયા ને ફોર્સ કર્યો. અને આમેય આ રાજાઓ આ પીંઢારાઓથી ત્રાસેલા તો હતાજ. સિંધિયા, હોલકર, પેશ્વા, ભોપાલના નવાબ, નાગપુર, નિઝામ બધાએ સંધી કરી. કર્નલ વોકર, કૅપ્ટન કોલફિલ્ડ , મેજર ક્લાર્ક, થોમસ હિસ્લોપ આ બધાની આગેવાની નીચે ચારે બાજુ થી હલ્લો શરુ થયો. ઉપર છેક આગ્રાથી બુન્દેલ ખંડ તરફથી, પૂર્વમાંથી બેનગલ ફોર્સ, અને સાઉથમાંથી ડેક્કન આર્મી. એમની પોતાની નમર્દા ખીણમાં સપડાવાનો પ્લાન સફળ થયો. વસિલ મહમદ સિંધિયા તરફ ભાગ્યોને પકડાઈ ગયો ને બ્રીટીશરોને સોંપ્યો. હોલકરે ચિટોને ભગાડ્યો. કરીમખાન સર જોન માલ્કોમના શરણે થયો. વસિલ મહમદે આપઘાત કર્યો. ચિટો નાગપુર તરફ ભાગ્યો ત્યાં અપ્પા સાહેબે માત દીધી. અને નાગપુરના જંગલોમાં સંતાવા જતા વાઘે ફાડી ખાધો. આ લોકોના બાળકો અને સ્ત્રીઓને અંગ્રેજોએ ગોરખપુરમાં વસવાની છૂટ આપી. જમીન પણ આપી. ઘર પણ આપ્યા.

મધ્ય ભારત એક બર્બર કોમની બેરહેમ લૂંટફાટ ને અત્યાચારની વેદનામાંથી છૂટ્યું. આ કેવાં પ્રકારનો સ્વતંત્રતા માટેનો સંગ્રામ હતો? આ લુટારા તો હિન્દુસ્તાનની પ્રજાને લૂટતા હતા. આ કોઈ અંગ્રેજો પાસેથી પ્રજાને સ્વતંત્રતા અપાવવા માટે થોડા લડેલા? આ તો મરાઠી રાજાઓના ભાડૂતી ખોલકા હતા જે પાછળથી જે તે રાજાના કાબુમાં ના રહ્યા. રાજાઓ પોતે ફસાઈ ગયા હતા. અને એમનો નાશ ઇચ્છતા હતા. ત્યાર પછી ઈ.સ.૧૮૧૯માં આ બધા રાજાઓ અંગ્રેજોના શરણે ગયા તે વાત જુદી છે. આમેય ભારતમાં લોકોને લૂંટારા અને ગુંડાઓને હીરો તરીકે ખપાવી દેવાની આદત તો છે જ. સાચો ઇતિહાસ કોણ ઉકેલવાનું છે? અને સમય પણ ક્યાં છે? મુવી જોઇને જે બતાવે એ સાચું સમજી લેવાનું ને? આમેય વિચારવાની બારીઓ તો બંધ જ છે. મૂળે પાછાં અંગ્રેજો રાજ કરી ગયેલા એટલે એમના પ્રત્યે નો રોષ આ લુટારાને હીરો બનાવી દેવા કામ લાગવાનો.

પીંઢારી કોમનો પ્રીથ્વીસિંહ નામનો કોઈ નેતા ના હતો. ના તો માધવગઢ નામનું કોઈ રાજ્ય હતું. તો ઈ.સ. ૧૮૧૯માં તો અંગ્રેજોએ આ લોકોનો નાશ પણ કરી નાખેલો. ઈ.સ. ૧૮૧૯માં જ આ બધી વાર્તા સમાપ્ત થઈ ગયેલી. ઇતિહાસકાર ગોવિંદ સરદેસાઈ એ ક્યાંય માધવગઢ નો ઉલ્લેખ જ નથી કર્યો.

કમનસીબી એ છે કે બ્રિટનનાં વિખ્યાત રાજકર્તા ચર્ચિલની ૧૯૪૭મા કહેલી વાત આજે આપણા નેતાઓએ સાચી પાડી છે. ખરેખર અંગ્રેજો ઠગ અને પીંઢારાઓને રાજ સોંપી ને ગયા છે. કોઈ શક?

Ref: (1) Pindari Society and Establishment of British Paramountcy in India. By-Philip F.McEldowney, A Thesis submitted in Uni of Wisconsin in 1966

(2)Historical studies and recreations vol-2 By-Shoshee Chunder Dutt Page-340.

 

સોમનાથ મંદિર સૌથી વધુ વખત તોડાયેલું

untitled

 

સોમનાથ મંદિર સૌથી વધુ વખત તોડાયેલું

 

સૌરાષ્ટ્રના વેરાવળ નજીક પ્રભાસ ક્ષેત્રમાં વસેલું સોમનાથ મંદિર કદાચ દુનિયાનું પહેલું એવું મંદિર હશે જે સૌથી વધુ વખત તોડાયું છે અને ફરીફરી બંધાયેલું છે. આશરે સોળેક વખત તોડાયું હશે. છેલ્લે ૧૯૪૭મા સરદાર વલ્લભભાઈ પટેલે એને ફરી બાંધવાનો નિર્ણય લીધો, એમના મૃત્યુ પછી ક.મા. મુનશીની દેખરેખ નીચે બાંધકામ ચાલુ રહ્યું.

આમ તો શિવલિંગ સૃજનનું પ્રતીક છે. આ સર્જન અને વિસર્જન પ્રક્રિયાનો કોઈ આરંભ કે અંત હોય નહિ. પુરાણોની વાર્તાઓ પ્રતીકાત્મક હોય છે. સોમનાથ સાથે એવા ૧૨ જ્યોતિર્લિંગ ભારતમાં છે. બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે પ્રકાશનો એક સ્તંભ ઊભો થઈ ગયેલો અને એના આદિ અને અંત પામવા બંને નીકળી પડેલા એવી પ્રતીકાત્મક વાર્તા છે. સોમનાથ વિષે એક બીજી વાર્તા ચંદ્રની છે. ચંદ્ર દક્ષ પ્રજાપિતાની ૨૭ દીકરીઓ સાથે પરણેલો હોય છે, પણ ફક્ત રોહિણીને મહત્વ આપતો હોય છે. દક્ષ એને શ્રાપ આપે છે તેનું નિવારણ કરવા પ્રભાસ ખાતે શિવલિંગની સ્થાપના કરી શિવની ભક્તિ કરી શ્રાપમુક્તિ મેળવે છે. ચંદ્ર સોમનાથનું સોનાનું મંદિર બનાવે છે. ત્યાર પછી રાવણ ચાંદીનું મંદિર બનાવે છે, અને ભગવાન શ્રી કૃષ્ણ સુખડના લાકડાનું બનાવે છે. મતલબ સોમનાથ મંદિર વારંવાર બનાવવાનો સિલસિલો બહુ પ્રાચીન લાગે છે. જોકે એટલાં જુના પુરાવા મળવા મુશ્કેલ છે.

 

કૉમન એરા શરુ થાય તે પહેલા અહીં મંદિર હતું તેવું કહેવાય છે. જુના મંદિરને સ્થાને વલ્લભીના યાદવ રાજા સન ૬૪૯મા બીજું મંદિર બંધાવે છે. સન ૭૨૫માં સિંધના આરબ ગવર્નર જુન્નેદ એનું લશ્કર મોકલીને તોડાવી નાખે છે. અહીં એના તોડવાની શરૂઆત થઈ હોય તેવું માનવું યોગ્ય છે. તે પહેલા મંદિર જર્જરિત થઈ જતા નવા બનાવવા પડ્યા હશે. સન ૮૧૫મા ગુર્જર પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજા લાલ પથ્થરનું મોટું ભવ્ય મંદિર બનાવે છે. આશરે ૧૦૨૪ની સાલ હશે. મહમદ ગઝની સોમનાથ મંદિર ઉપર ચડી આવેલો. પાટણના સોલંકી રાજા ભીમદેવ ક્યાંક કચ્છમાં ભાગી ગયેલા. લાઠીના કુંવર હમીરજી ગોહિલ આશરે ત્રણસો કે ચારસો રાજપૂતો લઈને ગઝની સામે લડવા ગયેલા. સ્વાભાવિક છે કે એમને ખબર જ હોય કે આટલાં મોટા લશ્કર સામે લડવું એટલે મોત જ મળવાનું છે, બધા કપાઈ મર્યા. આ હમીરજી એટલે પ્રખ્યાત કવિ કલાપીના પૂર્વજ. આઝાદીના ૬૦ વર્ષ બાદ સરકારે હમીરજીનું સ્મારક બનાવ્યું છે. અલ્લાઉદ્દીન ખીલજી ચિતોડ ઉપર ચડી આવેલો ત્યારે પણ રજપૂતોએ કેસરિયા કરેલા. થરનું રણ પાર કરીને આવેલો મહંમદ ગઝની ૧૦૨૪મા એને તોડી નાખે છે. ગઝનીએ મંદિર એક જ વાર તોડ્યું છે તેવું ઈતિહાસકારો માને છે. ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે પણ ફક્ત બેવાર લડાઈ થઈ હતી. એકવાર ઘોરી હારીને ભાગી ગયેલો બીજી વાર પૃથ્વીરાજ હારેલો. ૧૦૨૬ અને ૧૦૪૨ વચ્ચે મળવાના રાજા ભોજ અને ગુજરાતના ભીમદેવ સોમનાથને ફરી બંધાવે છે. સિદ્ધરાજ જયસિંહ પછી આવેલા રાજા કુમારપાળ પણ એનો જીર્ણોદ્ધાર કરાવે છે. ૧૨૯૬મા સુલતાન અલ્લાઉદ્દીન ખીલજી એને ફરી તોડી નાખે છે. ૫૦ હજાર હિન્દુઓની હત્યા થાય છે. ૨૦ હજાર ગુલામો તરીકે લઈ જવાય છે. કાળોકેર વર્તાવાય છે. ૧૩૦૮મા સૌરાષ્ટ્રના રાજા મહીપાલદેવ ચૂડાસમા એને ફરી બંધાવે છે અને એમનો દીકરો ખેંગાર આશરે ૧૩૨૬મા એમાં લિંગની પ્રતિષ્ઠા કરે છે. ફક્ત ૨૫-૫૦ વર્ષ પછી ગુજરાતનો સુલતાન મુઝફ્ફર શાહ ૧૩૭૫માં ફરી એને તોડી નાખે છે. ૧૪૫૧મા વળી પાછો મહંમદ બેગડો એને ફરી તોડી નાખે છે. ૧૭૦૧માં પાછું ઔરંગઝેબ એને તોડી નાખે છે, અને તે મંદિરના સ્તંભ વાપરી ત્યાં મસ્જિદ બનાવી નાખે છે. નાગપુરના રાજા ભોંસલે, પુનાના પેશ્વા, ગ્વાલિયરના શ્રીમંત પાટીલબુવા અને ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકરના સંયુક્ત પ્રયાસ વડે ૧૭૮૩મા આ સોમનાથનું મંદિર ફરી બંધાવાય છે.

 

૧૯૪૭મા સરદાર, મુનશી અને બીજા કોંગ્રેસીઓ ગાંધીજીને મળે છે અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે પ્રપોઝલ મૂકે છે. ગાંધીજી આગળ વધવાના આશીર્વાદ આપતા સૂચન કરે છે કે મંદિર બાંધવામાં થતા ખર્ચની જોગવાઈ પબ્લિક ફંડમાંથી કરવી, સરકાર પૈસા વાપરે તે યોગ્ય નથી. ગાંધી અને સરદાર તો બાંધકામ પૂરું થાય તે પહેલા મૃત્યુ પામે છે. નહેરુ સરકારના ફૂડ અને સિવિલ સપ્લાય મિનિસ્ટર એવા ક.મા. મુનશીની દેખરેખ નીચે બાંધકામ પૂરું થાય છે. હિંદુ ધાર્મિક પુનરુજ્જીવનનાં પ્રયત્ન રૂપે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારને ઓળખ આપવાનાં મુનશી અને રાજેન્દ્રબાબુનાં પ્રચાર પ્રત્યે નહેરુ પોતાની નારાજગી દર્શાવતા. હાલનું મંદિર ચૌલુક્ય સ્ટાઇલ કે મહામેરુ પ્રસાદ સ્ટાઇલનું ગણાય છે જે સોમપુરા ફૅમિલીની કમાલ ગણાય છે. આ મંદિરની એક ખૂબી એ છે કે આ મંદિર અને એન્ટાર્કટિકા વચ્ચે કોઈ જમીન કે ટાપુ છે નહિ..અહીં જે બાણસ્તંભ છે તેનો એરો દર્શાવે છે કે દક્ષિણ ધ્રુવથી શરુ કરો તો આ પહેલો લેન્ડમાર્ક છે. અને અહીંથી સીધા જાવ તો દક્ષિણ ધ્રુવ પહોચી જાવ. ૧૮૪૨મા અફઘાન વિજય મેળવીને અંગ્રેજો દ્વારા ગઝનીની કબર પરથી લવાયેલા મૂળ સોમનાથ મંદિરના ગણાતા સુખડના દરવાજા હજુ આગ્રા ફૉર્ટમાં ક્યાંક પડ્યા હશે. ઇતિહાસકાર રોમીલા થાપર આને હિંદુ મુસ્લિમ વૈમનસ્ય વધારવાની અંગ્રેજોની ચાલબાજી ગણે છે.

 

અંગ્રેજો ચાલબાજ હતા એમાં કોઈ શક નથી. અંગ્રેજો પહેલા પણ એને તોડવાની વિનંતી અકબરના સેનાપતિ મિરઝા પાસે પ્રભાસ શહેરના કાજી દ્વારા કરાઈ હતી. આમ બે કોમ વચ્ચે વૈમનસ્ય તો હતું જ અને તે પણ અંગ્રેજોનાં આગમન પહેલા..થાપરની થિયરીમાં અનેક છીંડા છે. ઇસ્લામ પહેલા આરબો કોઈ માતાને માનતા હતા. દેવીપૂજક હતા. તે દેવીની મૂર્તિઓ કોઈ કારણસર ભારત આવી ગઈ અને સોમનાથમાં સ્થપાઈ ગઈ મહાદેવ તરીકે? એને તોડવા ગઝની આવેલો? ચાલો માની લીધું પણ ગઝની તોડી ગયા પછી અનેકવાર શું કામ તોડવું પડે? પેલી માતાની મૂર્તિઓ ક્યાં એમાં હતી? મૂળે મૂર્તિભંજન દરેક આક્રમણકારીની ફરજ હતી. વૈમનસ્ય વધારવા તો મંદિર તોડતા હતા. નબળી કોમ શાંતિમંત્રણાઓ કે વૈમનસ્ય ના વધે તેવી વાતો કરતી હોય છે. જબરી કોમને ભાઈચારાની પડી હોતી નથી.

 

ગઝનીના સૈન્યમાં હિંદુઓ હશે તેમાં નવાઈ નહિ. મહારાજા રણજીતસિંહ અને ગુરુ ગોવિંદસિંહનાં લશ્કરમાં પણ મુસ્લિમ સૈનિકો કામ કરતા જ હતા. એમની વફાદારી જેતે રાજા પ્રત્યે હોય છે. અકબરના સેનાપતિ તરીકે ઘણીવાર હિંદુ રાજાઓ જતા. અંગ્રેજોના લશ્કરમાં બધા અંગ્રેજો હતા? હિંદુ અને મુસ્લિમ સૈનિકો વડે જ અંગ્રેજોના લશ્કર શોભતા હતા. જામનગરના પ્રિન્સ રાજેન્દ્રસિંહજી જર્મન મોરચે લડેલા હતા. અંગ્રેજો ગયા પછી એમણે ભારતીય લશ્કરમાં ઘણો ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરેલો. બીજા વિશ્વયુદ્ધમાં ખભેખભા મિલાવીને જે લોકો લડેલા તે જ લોકો આઝાદી પછી સામસામે લડેલા.. મરાઠાઓના લશ્કરમાં પણ મુસ્લિમ સૈનિકો અને અફસરો હતા. અંગ્રેજોએ જે લોકોનો વિનાશ કર્યો કહેવાય છે તે પીન્ઢારા મોટાભાગે મુસ્લિમ પઠાણો હતા અને આ પીન્ઢારા હિંદુ રાજાઓ માટે પણ કામ કરતા હતા. એમનું કામ યુદ્ધ પછીનું રહેતું, આ વધારાનું સૈન્ય હતું જે કામકાજના વળતર તરીકે જીતેલા પ્રદેશોમાં લૂંટ ચલાવી લેતા એમને કોઈ પગાર મળતો નહિ. રાજાઓ નબળા પડતા પીન્ઢારા વકરી ગયા હતા.

 

આ સોમનાથ મંદિર ગઝની સિવાય અનેક લોકોએ તોડ્યું છે. ગઝની પછી પણ કેટલા બધાં મુસ્લિમ સુલતાનોએ એને તોડ્યું છે? ખુદ ગુજરાતના સુલતાન મહમ્મદ બેગડાએ પણ એને તોડ્યું છે. છેલ્લે ઔરંગઝેબે પણ તોડેલું. જેમ જેમ આ મંદિર તોડાતું જતું હતું તેમ તેમ હિન્દુઓ માટે તે વધારે મહત્વનું બનતું જતું હતું તેમ લાગે છે અને તેથી એને વારંવાર તોડીને હિન્દુઓને નાલેશીના દરિયામાં નાખવાના કાયમ પ્રયત્નો થતા હશે. સોમનાથ મંદિર તોડવાની જાણે એક હરીફાઈ કે ફૅશન થઈ પડી હતી. બીજા અનેક મંદિરો ભારતમાં હતા અને છે. પણ બીજા મંદિરો બાબતે આવું કેમ નહોતું બનતું તે પણ વિચારવા જેવું છે. ગઝની ખાલી લૂંટારો હતો માટે મંદિર તોડેલું માનવું વધુ પડતું છે. ઇસ્લામનો ફેલાવો અને મૂર્તિભંજન મુસ્લિમ આક્રમણકારો માટે એમની ફરજમાં ગણાતું. ક્રીશ્ચિયાનીટી અને મુસ્લિમ ધર્મપરિવર્તનમાં માને છે. હિંદુ ધર્મ ધર્મપરિવર્તનમાં માનતો નથી. જૈન અને શીખ પણ ધર્મપરિવર્તનમાં માનતા નથી. ધર્મપરિવર્તન મોટાભાગે પરાણે જ થતું હોય છે. ધર્મ તમારા અનકોન્શીયસમાં સમાયેલો હોય છે. એટલે તલવારની ધાર નીચે એને મજબૂરીમાં બદલવો પડતો હોય છે. અથવા કોઈ લોભ કે લાલચ કામ કરી જતી હોય તેવું પણ બને. હિંદુ ધર્મની સખત વર્ણવ્યવસ્થાને લઈને નીચલાં વર્ગનું ખૂબ શોષણ થયું હોય છે અને ધર્મ બદલવા મજબૂર થઈ જવું પડ્યું હોય છે. આક્રમણકારી મુસ્લિમો માટે સમજાવટ કે શિક્ષણ આપવાનો સમય નહોતો, એમને માટે તલવારની ધાર જ ધર્મ પરિવર્તન કરાવવા માટે સીધો ટૂંકો ટચ રસ્તો હતો.

 

એક વહોરાજી મને બરોડામાં હતો ત્યારે મળેલા. એમની વાતમાં અતિશયોક્તિ જરૂર હશે. એમના કહેવા પ્રમાણે વહોરા બધાં બ્રાહ્મણો હતા. કોઈ મુલ્લાંજી પરદેશથી આવ્યા, બધાને સમજાવ્યા અને હિંદુ બ્રાહ્મણોએ ધર્મ બદલ્યો તે દિવસે જે જનોઈઓ ઉતારેલી તેનું વજન હજાર મણ થયેલું. હજાર મણ વજન જનોઈનું થાય તે માટે કેટલાં બ્રાહ્મણોએ જનોઈ ઉતારી હશે? મને મનમાં હસવું આવતું હતું કે સમજાવટથી બ્રાહ્મણો માન્યા હશે? કે માથાં ઉપર તલવારની ધાર દેખાતી હશે? હું છોડું ખરો? મેં સામો સવાલ પણ કરેલો પણ વહોરાજી કહે ના રે ના કોઈ બળજબરી નહોતી. મેં એવા લગ્નો જોયા છે જ્યાં હિંદુ અને મુસ્લિમ બંને વિધિઓ થતી હોય. ગણેશ પણ બેસાડે અને નિકાહ પણ પઢે. ધર્મ તમારા સબ કોન્શિયસમાં સમાઈ જતો હોય છે જે તમે વટલાવ તો પણ સદીઓ સુધી ક્યારેક નીકળતો નથી. માટે જ હિંદુ, જૈન, શીખ ધર્મપરિવર્તનમાં માનતા નથી. મંદિરો તો ઘણાં બધા તોડાયા હતા પણ એકનું એક મંદિર વારંવાર તોડાયું હોય તેવું સોમનાથ એકલું જ છે. અને વારંવાર તોડાયું હોય અને બંધાયું હોય તે મંદિર માટે સમસ્ત હિન્દુઓને વિશેષ પ્રેમ હોય તે પણ સ્વાભાવિક જ છે ને? હાલનું સોમનાથ મંદિર સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. પુરુષ અને સ્ત્રીના જનન અવયવોને સર્જનનાં પ્રતીક તરીકે મૂકેલા શિવલિંગને જોઈ સેક્સનું બહુમાન કરનારા પ્રાચીન ભારતીય મનીષીઓની બુદ્ધિ અને કલ્પનાશક્તિને નમન કરવા હાથ જોડાઈ જાય તેમાં શું નવાઈ?

ભૂપેન્દ્રસિંહ રાઓલ

E-mail – brsinh@live.com

ફોન +1 732 406 6937

Scranton, PA, USA.

 

 

લગ્નેતર સંબંધો વિજ્ઞાનની દ્રષ્ટીએ

લગ્નેતર સંબંધો વિજ્ઞાનની દ્રષ્ટીએ.  

એક સર્વે મુજબ અમેરિકામાં ૨૦ થી ૪૦% પુરુષો અને ૨૦ થી ૨૫% સ્ત્રીઓ લગ્નેતર સંબંધો ધરાવે છે. ૪૨ બીજા એવા સમાજોમાં સર્વે કરતા આવા સંબંધો સામાન્ય જણાયા હતા. અરે! જ્યાં લગ્ન બહારના સંબંધો ને કારણે પથ્થર મારી મોતની સજા ફટકારવામાં આવે છે ત્યાં પણ લગ્ન સિવાયના સંબંધો મોતની પરવા કર્યા વગર સ્ત્રીઓ પણ બાંધે છે. આવા સમાજોમાં પુરુષોને છૂટ હોય છે. મનોગમસ ગણાતા પક્ષીઓ પણ વંશવેલા માટે ખાનગીમાં એક્સ્ટ્રા પેર બનાવતા હોય છે. લગભગ મોટાભાગના સ્તનધારી પ્રાણીઓ પોલીગમસ છે. Sexual betrayal is wide spread in nature. માટે હવે મનોગમી એક સામાજિક વ્યવસ્થા ગણવામાં આવે છે.

 

એન્થ્રોપોલોજીકલ અને અર્કીયોલોજીકલ પુરાવા બતાવે છે કે ઉત્ક્રાન્તિના ઇતિહાસમાં માનવજાત પોલીગમસ રહી છે. હવા, પાણી અને ખોરાકની જેમ વંશ આગળ વધારવો તે કુદરતે જિન્સમાં મૂકેલી વૃત્તિ છે. વંશ કઈ રીતે આગળ વધારવો તે માટે માનવ જાતને લાખો વર્ષના વિકાસના ક્રમમાં પોલીગમી મળી છે. પોલીગમીમાં બહુપત્ની, અને બહુપતિ બંને આવી જાય તે ભૂલતા નહિ. તિબેટ, લડાખ, નેપાળ, ભારતના અમુક વિસ્તારની ખાસ જાતિઓ, આફ્રિકાના મસાઈ વગેરેમાં બહુ પતિત્વ ચાલે છે. એક સ્ત્રી અનેક પતિ. ત્યાં તેવી બહુપતિ ધરાવતી સ્ત્રીઓને કોઈ વૈશ્યા સમજતું નથી. દ્રૌપદીને પાંચ પતિ હોવા છતાં સતી કહેવામાં આવે છે. ભારતમાં મોટાભાગે પોલીગમી સમાજ હતા. હમણાં ૧૦૦ કે ૫૦ વર્ષોથી મનોગમી પ્રચલિત થઈ છે. એકને પાલવવાનાં  ફાંફાં હોય ત્યાં બેને કઈ રીતે પાલવવાની? મુખ્ય કારણ આ છે અને બીજું કારણ કાયદા. લગ્ન, ડિવોર્સ, પુનર્લગ્ન એ રીતે પોલીગમી ચાલુ જ છે. એક્સ્ટ્રા મેરીટલ પણ એકજાતની પોલીગમી જ થઈ.

 

વંશવેલો આગળ વધારવો, પણ મજબૂત વધારવો તે કુદરત ઇચ્છતી હોય છે. અને વંશ પેદા કર્યા પછી તેને જીવતો રાખવો પડે તો જ હેતુ સફળ થાય. માટે આખાયે પ્રાણી અથવા સજીવ જગતમાં બે નર એક માદા માટે હરીફાઈ કરતા હોય છે જે જીતે તે ભોગવે. માદા પણ જીતનારની રાહ જોતી હોય છે. જેની ઈમ્યુન(રોગ પ્રતિકાર શક્તિ) સિસ્ટિમ સારી હોય તેના દ્વારા આગળ વધેલો વંશ સારો હોય તે સ્વાભાવિક છે. ઈમ્યુન સિસ્ટમનાં જિન્સનું જૂથ દરેકમાં યુનિક હોય છે. તેવી રીતે તેની ગંધ પણ યુનિક હોય છે. જેમ ફિંગર પ્રિન્ટ લગભગ બધાની સરખી દેખાય છે પણ હોતી નથી. નિષ્ણાત તેને પકડી પાડે છે. અરે એક જ માનવીના બે અંગૂઠાની છાપ પણ સરખી હોતી નથી. કુદરતે દરેક માનવીને યુનિક બનાવ્યો છે. તેવી રીતે દરેક માનવની ગંધ સરખી લાગતી હોય, પણ સરખી હોતી નથી. સરખાપણું હોય સરખી ના હોય. જેટલી વિરુદ્ધ પ્રકારની ગંધ હોય, જેટલી ગંધ ડીફરન્ટ હોય તેટલી ઈમ્યુન સીસ્ટમ પણ ડીફરન્ટ હોય. બે ડીફરન્ટ ઈમ્યુન સીસ્ટમ ભેગી થઈને મેટિંગ કરીને વંશ પેદા કરે તેટલો ચાન્સ વંશને બચવાનો વધારે. નવા વંશ પાસે પણ જોરદાર ઈમ્યુન સીસ્ટમ ઊભી થવાની. નવી ગંધ પેદા થવાની. ગંધ એટલે ગંધ,ના સુગંધ ના દુર્ગંધ. આમ ચક્ર ચાલુ રહે તેવું કુદરત ઇચ્છતી હોય છે. બસ વિરુદ્ધ પ્રકારની ડીફરન્ટ ગંધ ક્યાંક સંપર્કમાં મળી જાય ઇવલૂશનરી ફોર્સમાં ખેંચાઈ જાઓ અને હાલની લગ્ન વ્યવસ્થા દ્વારા મનોગમી અસ્તિત્વમાં છે માટે કહેવાય બેવફાઈ. તે થયો લગ્નેતર સંબંધ. જે સ્ત્રીઓ પહેલા ટેવાયેલી હતી પોલીગમીથી તેમને એમના પતિ બેવફા લગતા નહોતા. બહુપતિત્વ ધરાવતા સમાજોમાં પતિદેવોને એમની પત્નીઓ બેવફા લાગતી નથી.

 

સ્ત્રીઓની પહેલી પસંદગી હાઈ સ્ટેટસ અને પુષ્કળ રીસોર્સીસ હોય છે, કારણ વંશને સારી રીતે ઉછેરી શકાય. સાથે સાથે સ્ટ્રોંગ જિન્સ પણ એટલાજ જરૂરી છે. એક બીજો ટીશર્ટ સર્વે પણ એવો છે કે કેટલાક પુરુષોને એકના એક ટીશર્ટ ત્રણ દિવસ પહેરી રાખવાનું જણાવેલું. પછી જુદી જુદી સ્ત્રીઓને આ બધા ટીશર્ટ સૂંઘીને મેટિંગ માટે કયો પુરુષ યોગ્ય છે તે જણાવવાનું સૂચવેલું. કોઈ સ્ત્રી એકબીજાને જાણતી નહોતી કે પુરુષોને પણ જાણતી નહોતી. છતાં દરેક સ્ત્રીએ હાઈ લેવલ ટેસ્ટાસ્ટેરોન મેલ હાર્મોન્સ ધરાવતા પુરુષને પસંદગી આપેલી. એટલે જ્યારે કોઈ સ્ત્રીને આવી હાઈ લેવલ ટેસ્ટાસ્ટેરોન ધરાવતા પુરુષની ગંધ આવી જાય અને ઈવલૂશનરી ફોર્સ આગળ લાચાર બની જાય તો થયો હાલનો કહેવાતો લગ્નેતર સંબંધ. તો આ થયું ગંધ સુગંધનું મહત્વ એક્સ્ટ્રા મેરીટલ સંબંધોમાં. પથ્થર મારી મારીને મોત મળવાનું છે તેવું જાણતી હોવા છતાં સ્ત્રીઓ ઇવલૂશનરી ફોર્સ આગળ લાચાર બની જતી હોય છે.

 

બીજા કારણોમાં અસલામતી અનુભવવી, અવહેલના, એડીક્સન, વાસ્તવિકતાથી દૂર ભાગવું અને સમાજથી ગૃપથી વખુટા પડી જવું એવા અનેક માનસિક કારણો લગ્નેતર સંબંધો તરફ દોરી જતા હોય છે. મૈ તુલસી તેરે આંગનકી પણ એક પ્રકારનો એક્સ્ટ્રા મેરીટલ સંબંધ જ કહેવાય. બીજો એક વરવો પ્રકાર પણ જોવા મળતો હોય છે, સમાજમાં બદનામ થઈ જવાનો ડર હોય ત્યારે લોકો ધર્મના ભાઈ બહેન બની એક્સ્ટ્રા મેરીટલ સંબંધો ચલાવતા હોય છે તેવું પણ જોયું છે, બધા આવું ના કરતા હોય તે પણ સાચું છે.

 

એક મહત્વનું કારણ બરોડા હાઈસ્કૂલ અલકાપુરીનાં એક શિક્ષક મિત્રે એમના સ્ટાફ રૂમમાં થયેલી ચર્ચા મુજબ જણાવેલું. કે પુરુષ એની જાતીયતાનો આવેગ સહન કરી શકતો નથી. અને એમની પત્નીઓને આ ખબર હોય છે. એટલે સ્ત્રીઓ એમના પતિદેવોને કોઈ કારણવશ સજા આપવી હોય તો રૂટિન સંસર્ગ એક યા બીજા બહાને કરવા દેતી નથી. સ્ત્રી પુરુષને મારી શકતી નથી, કે ઊઠબેસ કરાવી શકતી નથી. માટે એની પાસે આ મોટું શસ્ત્ર છે, સજા કરવાનું. સંસર્ગ કરવા દેવો નહિ, ક્યાં જવાના હતા? એમના કહેવા મુજબ આ યુનિવર્સલ રોગ છે. બહુ ખાનગી છે, નિતંબ દાઝ્યો કોને કહે?  હવે ભૂખ્યો માણસ ઘેર ડબા ફંફોસે પણ કશું ના મળે તો બહાર ભજિયા ખાઈ આવે તેવું થયું.

વળી સુંદરતા, બુદ્ધિ અને બેવફાઈને અંદરોઅંદર સંબંધ હોય છે. શારીરિક આકર્ષક લોકો બુદ્ધિશાળી હોય છે. જીનેટીકલી હેલ્ધી લોકો એક તો વધારે સુંદર અને આકર્ષક હોય છે. વધારે બુદ્ધિશાળી હોય એટલે ધંધો પાણી નોકરી વગેરે વધુ સારી રીતે કરીને વધારે ધન કમાતા હોય. એમની પાસે વિપુલ ભંડારો હોય. જેની પાસે વિપુલ ભંડાર હોય તેની તરફ સુંદર સ્ત્રીઓ વધારે આકર્ષિત થવાની. આમ બંને જોડી વધારે સુંદર , વધારે આકર્ષક અને બુદ્ધિશાળી હોય તો સંતાનો વધારે સુંદર અને આકર્ષક અને બુદ્ધિશાળી પેદા થવાના જે વારસાગત છે. આ ચક્ર આગળ વધતું જાય તેમ ફીજીકલ આકર્ષકતા, બુદ્ધિ અને સુંદરતાનો સરવાળો નવી પેઢીમાં ગુણાકાર સાથે થાય.

 

ધ નેશનલ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સ્ટડી(NCDS) ઇંગ્લૅન્ડ, વેલ્સ, સ્કોટલેંડમાં એક સર્વે કરવામાં આવેલો. ૭ થી ૧૧ વર્ષની વયના બાળકોને એમાં સમાવી લેવામાં આવેલા. એમાં માલૂમ પડ્યું હતું કે આકર્ષક બાળકો વધારે બુદ્ધિશાળી માલૂમ પડેલા હતા. આકર્ષક બાળકોનો IQ -૧૦૪.૨૩ અને અનાકર્ષક બાળકોનો IQ -૯૧.૮૧, તફાવત ૧૨.૪૨ હતો. જેમ શિક્ષણ સાથે બુદ્ધિનો સંબંધ હોય છે તેમ આકર્ષકતા સાથે પણ બુદ્ધિનો સંબંધ હોય છે. આવો જ પ્રાયોગિક સર્વે સ્ત્રી અને પુરુષોમાં પણ કરવામાં આવેલો. આકર્ષક સ્ત્રીઓનો IQ -૧૦૩.૬૪ અને અનાકર્ષક સ્ત્રીઓનો IQ -૯૨.૨૫. તફાવત ૧૧.૩૯. આકર્ષક પુરુષોનો IQ-૧૦૫.૦૦ અને અનાકર્ષક પુરુષોનો IQ-૯૧.૩૯ તફાવત ૧૩.૬૧.

જોકે આ બધી ઇવલૂશનરી સાયકોલોજીની થિયરી છે, એમાં તથ્ય જરૂર હોય છે. બીજું સુંદરતા અને આકર્ષકતાના માપદંડ જુદા જુદા હોય છે. ધોળી ચામડી એટલે સુંદર એવું માની ના લેવાય. જોકે ઉપરના સર્વેમાં ચામડીનો રંગ ગણવામાં આવ્યો ના હોય તે સ્વાભાવિક છે. ભારતમાં હજુ ધોળું એટલે સુંદર એવું મનાતું હોય છે પરદેશોમાં હવે ચામડીના રંગને કોઈ ગણતું નથી. રૂપની વ્યાખ્યા પણ દરેક જગ્યાએ જુદી જુદી હોય છે. સ્થળ અને કાળ પ્રમાણે બદલાતી જતી હોય છે. દક્ષિણ ભારતમાં અભિનેત્રીઓ તગડી હોય છે જ્યારે બોલીવુડની ૦ ફિગર.

હવે રૂપાળાં, આકર્ષક અને બુદ્ધિશાળી પુરુષ હોય એટલે કુદરતી રીતે સ્ત્રીઓ એમની પ્રત્યે વધારે આકર્ષિત થવાની. એટલે આ પુરુષો કહેવાતી વફાદારી આચરી શકતા નથી, એને ચીટીંગ કહી શકાય. એમની પત્નીના માપદંડ પ્રમાણે બેવફા અને ચીટીંગ કરતા જણાતાં હોય છે. કુદરતના નિયમ અને આપણે ઘડેલા નીતિનિયમો અલગ અલગ છે. ઇવલૂશનરી ફોર્સ નીતિ નિયમોને ગણતો નથી. જેમ કે ૯૦% પક્ષીઓ એકજ જોડી બનાવી સંતાનો પેદા હોય છે. પક્ષીઓ ખાસ પોલીગમસ હોતા નથી, મનોગમસ હોય છે. છતાં ૪૦% પક્ષીઓના બચ્ચાના પિતા જુદા હતા. એમની માતાએ કાયમ જે નર સાથે જોડી બનાવી હોય તે નરનાં નહોતા. જોકે આ નર હોશે હોશે પિતા તરીકેની ફરજ બજાવતો હોય છે. જીનેટીકલી આવું પુરવાર થયેલું છે. જ્યારે માનવજાત તો કુદરતી બહુગામી છે.

સ્ત્રીઓની સુંદરતા અને આકર્ષકતા સાથે બ્રેસ્ટ કપ સાઇઝ સંબંધ ધરાવતી હોય છે. એમાં પણ ઇવલૂશનરી ફોર્સ કામ કરી જાય છે. આવનાર બાળક માટે ખોરાકની વિપુલ સંભાવના અચેતન રૂપે જણાઈ આવે છે. એક સર્વે માટે જુદી જુદી કપ સાઈઝ સ્ત્રીઓ હાઈવે પર ઊભી રાખી લિફ્ટ માંગવા ઊભી રખાયેલી.

પુરુષવાહનચાલક- ૪૦ ઊભા રહ્યા ૨૬૮માંથી (Cup Size-A જોઈને)-૧૪.૯૨%થયા.       ૪૬ ઊભા રહ્યાં ૨૫૬માંથી (Cup  Size -B-જોઇને) -૧૭.૭૯% થયા. ૬0 ઊભા રહ્યાં ૨૫૦માંથી (Cup  Size -C જોઇને)૨૪% થયા.

સ્ત્રીવાહનચાલક – ૧૨ ઊભા રહ્યા ૧૩૨માંથી(Cup Size-A જોઇને)-૯.૦૯% થયા. ૧૧ ઊભા રહ્યાં ૧૪૪માંથી (Cup  Size -B જોઇને)-૭.૬૪% થયા. ૧૪ ઊભા રહ્યાં ૧૫૦માંથી (Cup  Size -C જોઇને)-૯.૩૩% થયા.

ઉપરનો સર્વે શું જણાવે છે??? જેમ કપ સાઈઝ મોટી તેમ સ્ત્રી વધુ આકર્ષિત…

Dad or Cad?

પુરુષની પસંદગી વખતે સ્ત્રીઓ એનામાં શું ઇચ્છતી હશે? એનો જવાબ આશ્ચર્યજનક હોઈ શકે કોઈ સીધો ઉત્તર મળવો મુશ્કેલ છે. સામાન્યતઃ એવું કહેવાય છે કે પુરુષો સ્ત્રીની સુંદરતા પ્રત્યે વધુ ધ્યાન આપતા હોય છે અને સ્ત્રીઓ પુરુષના સામાજિક મોભા અને એની આર્થિક સ્થિતિ પ્રત્યે વધુ ધ્યાન આપતી હોય છે. મતલબ પૈસાવાળો અને સામાજિક રીતે મોભો ધરાવતો હોય તેવો પુરુષ પસંદ કરતી હોય છે. અને એમાં તથ્ય પણ છે. છતાં આ બાબત ગુંચવાડાભરી પણ એટલી જ છે. સંશોધકોને સ્ત્રી સેક્સુઅલ પાર્ટનર પસંદ કરે તે વખતે બે બાબતો મુખ્ય લક્ષમાં લેતી હોય છે તે ધ્યાનમાં આવી છે. એક તો આ રિલેશનશિપ શૉર્ટ-ટર્મ છે કે લૉન્ગ-ટર્મ અને બીજુ સ્ત્રી ગર્ભવતી થવા ઇચ્છે છે કે નહિ?

Parental Investment Theory મુજબ રિપ્રોડક્શન મતલબ સંતાન પેદા કરવા પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ માટે બહુ મોટી કિંમત માંગી લેતો પ્રોસેસ છે. એક તો નવ મહિના બાળકને પેટમાં રાખવું બહુ મોટી વાત છે. પુરુષને તો શું ? બેચાર મિનિટનો ખેલ છે પિતા બનવા માટે. બીજું પુરુષ પાસે અબજો સ્પર્મ હોય છે જ્યારે સ્ત્રી પાસે લિમિટેડ એગ્સ હોય છે, દર મહિને ફક્ત એક જ.. એટલે પાર્ટનર પસંદ કરવાનો આવે ત્યારે સ્ત્રી બહુ સિલેક્ટીવ બની જતી હોય છે. ભારતીય પારંપરિક લગ્નવ્યવસ્થા મુજબ પાર્ટનર પસંદ કરવાનું એના માથે હોતું નથી ત્યાં આ બધા રિસર્ચ કામના નથી. આપણા પૂર્વજો બહુ કઠોર પરિસ્થિતિમાં જીવતા હતા, ત્યારે સર્વાઇવલ અને રિપ્રોડક્શન બે મહત્વના ધ્યેય રહેતા. જીવતા રહો અને બાળકો પેદા કરો બે ધ્યેય મહત્વના.

સંખ્યાબંધ અભ્યાસ બતાવે છે menstrual cycle પ્રમાણે સ્ત્રીઓની પસંદ બદલાતી હોય છે. ફલદ્રુપતાની ટોચ પર હોય ત્યારે સ્ત્રી masculine અને સામાજિક રીતે આપખુદ પુરુષ પસંદ કરતી હોય છે જેને સાહિત્યની ભાષામાં “cads” કહેતા હોય છે, જેઓ ઝીણી આંખો, મજબૂત જડબા, પાતળા હોઠ ધરાવતા સેક્સી જણાતા પુરુષો હોય છે. આવા પુરુષો શોષણ પણ કરી શકે. Machiavellianism, psychopathy, and narcissism જેવા નક્ષત્રોના ઝૂમખા જેવા આ પુરુષો હોય છે. પણ આવા પુરુષો શૉર્ટ-ટર્મ રિલેશનશિપ માટે જ પસંદગી મેળવાતા જોવા મળ્યા હોય છે. જ્યારે less fertile phases વખતે સ્ત્રીઓ થોડા દયાળુ, થોડા સહ્રદયી જેને સાહિત્યની ભાષામાં “dads” કહેવાય તેવા હુંફાળા, વિશ્વાસુ પુરુષો પસંદ કરતી હોય છે. આવા પુરુષો લૉન્ગ-ટર્મ રિલેશનશિપ માટે વધુ યોગ્ય ગણાતા હોય છે.

Debra Zeifman અને Jennifer Ma નામની બે મનોવૈજ્ઞાનિકોએ એક રસપ્રદ અભ્યાસ કરેલો. આધુનિક જમાનામાં સ્ત્રીને બાળક મેળવવું હોય તો પુરુષ સાથે સંભોગ કરવો જ પડે તેવું ફરજિયાત નથી. Artificial insemination કૃત્રિમ શુક્રઆરોપણ દ્વારા પણ બાળક મેળવી શકાય છે. પશુપાલન કરતા મિત્રોને તો ખબર જ હશે કે આ પદ્ધતિ પશુઓ માટે જુની વાત થઈ ગઈ છે. પણ હવે સ્પર્મ ડૉનર દ્વારા સ્ત્રીઓ પણ બાળક મેળવી શકે છે. આમાં કોઈ પુરુષ સાથે રિલેશનશિપ રાખવાનો પણ સવાલ ઊભો થતો નથી. કે એ માટે કોઈ મહેનત કરવી પડે, કે કોઈ લાગણીભર્યા સંબંધો વિકસાવવા પડે. તો એવા સમયે સ્ત્રી કેવાં પુરુષને સ્પર્મ ડૉનર તરીકે પસંદ કરશે તે માટે ઉપરોક્ત બે મનોવૈજ્ઞાનિકોએ અભ્યાસ કરેલો.

પ્રથમ તો ભાગ લેનારી સ્ત્રીઓને પોતાનો એક “ideal man” નક્કી કરી લેવાનો હતો, જે એની હાઈટ, બૉડી ટાઇપ, વાળનો કલર, સ્કીન કલર, આકર્ષકતા, ઉંમર, ભણતર, એની આવક, જાતિ, ધર્મ, પોલિટિકલ વ્યુપોઈન્ટ વગેરે વગેરે દર્શાવતો હોય. બૉડી ટાઈપમાં એકવડા બાંધાનો(સ્લેન્ડર), ઍથ્લેટિક, સરેરાશ, થોડા જાડિયા એવું વર્ગીકરણ રાખવામાં આવેલું. ફિઝિકલ અપીલમાં બિલો ઍવરિજ, ઍવરિજ, અબવ ઍવરિજ, અને વેલ અબવ ઍવરિજ એવી કૅટિગરિ રાખવામાં આવેલી. બીજા ભાગમાં ૨૦ પ્રશ્નોના જવાબ આપવાનાં હતા. જેનાથી જવાબ આપનારી સ્ત્રીઓના મનમાં પુરુષની પસંદ બાબતે આકર્ષકતા વિષેના ખ્યાલના અંદાજ આવી જાય. આમાં નિષ્કર્ષ પર પહોચવાને માટે ચાર કૅટિગરિ હતી, ૧) good gene જે મજબૂત, ફિઝિકલ ફિટ, સેક્સી, અને ઇન્ટેલિજન્ટ પુરુષ સૂચવતા હોય, ૨) good resource જેમાં આવક સારી હોય, ભણેલા સ્નાતક, મહત્વાકાંક્ષી, સામાજિક મોભો, અને ઉંમરમાં મોટા હોય, ૩) good parenting જેમાં ઘર અને બાળકો પ્રત્યે ચાહના, બાળ ઉછેરમાં રસ ધરાવતા, સમજદાર, ઇમોશનલી સ્ટેબલ અને મેચ્યોર પુરુષો આવી જતા હોય, ૪) good partnering  આમાં ખૂબ પ્રેમાળ, લૉયલ(વફાદાર), સંનિષ્ઠ, રોમૅન્ટિક, સમાધાનકારી સ્વભાવ ધરવતા પુરુષો આવી જાય.

તારણ એ નીકળ્યું કે સ્પર્મદાન લેવાનું હતું કોઈ લૉન્ગ-ટર્મ રિલેશન તો રાખવાના હતા નહિ તો સ્ત્રીઓએ good gene ઇન્ડિકેટ કરતા પુરુષ તરફ પહેલી પસંદગી ધરાવેલી. મતલબ ફ્યૂચર ચાઇલ્ડ માટે ફક્ત જિનેટિક કૉન્ટ્રિબ્યૂશન તરફ જ ધ્યાન રાખવાનું હોય તો સ્ત્રી પુરુષના ચારિત્ર્ય કરતા એની શારીરિક આકર્ષકતા તરફ વધુ ઢળતી હોય છે.

મારું સીમિત નિરીક્ષણ એવું કહે છે કે અમેરિકામાં સ્ત્રીઓ કાં તો બહુ નાની ઉંમરમાં માતા બની જતી હોય છે, કાં તો પછી બહુ મોટી ઉંમરે માતા બનવાનું પસંદ કરતી હોય છે. નાની ટીનેજર ઉંમરમાં વિચારશીલ બ્રેન બહુ કામમાં લેવાતું હોય નહિ ત્યારે બેસિક ઇવલૂશનરી ફોર્સ વડે પ્રેરાઈને નિર્ણય લેવાતા હોય ત્યારે બહુ નાની ઉંમરમાં માતા બનવાનું મન થાય ત્યારે Dad ને બદલે Cad હાથમાં આવી જવાની સંભાવના વધી જાય. જે ફિઝિકલી મજબૂત હોય, સેક્સી હોય, આપખુદ હોય. થોડા બેજવાબદાર પણ હોય. પછી રોજ જોડે રહેવાનું આવે ત્યારે કલેશ-કંકાસ વધી જાય. બીજું અહીં સ્ત્રી કમાતી ધમાતી છે પછી શું કામ વેઠે? પછી બ્રેક-અપ થઈ જવાનું. એમ અહીં સિન્ગલ મધર વધતી જાય છે. અથવા સ્ત્રીઓ એમની કારકિર્દી બનાવવા પાછળ મચી પડતી હોય ત્યારે સંતાન પેદા કરવા પોસાય નહિ. એમાં સ્થિર થાય પછી બાળકો પેદા કરવાનું વિચારાય.

ભારતમાં પણ બહુ નાની ઉંમરે પ્રેમમાં પડીને ભાગી જતી છોકરીઓના હાથમાં Dad ને બદલે Cad આવી જવાની સંભાવનાઓ વધી જાય તે સ્વાભાવિક છે. અરેન્જ મેરેજમાં સ્ત્રીઓને એમના લિમિટેડ એગ્સ માટે સારા જીન પસંદ કરવાની તક મળતી નથી તે પણ એટલું જ સત્ય છે.

લગ્નેતર સંબંધોનું વિજ્ઞાન સમજી શકાય તો એનાથી બચી પણ શકાય અને લગ્નજીવન બચાવી પણ શકાય.