ગરીબની વહુ સૌની ભાભી.

ગરીબની વહુ સૌની ભાભી.
ગરીબની શ્રદ્ધા અંધશ્રદ્ધા, અને અમીરની અંધશ્રદ્ધા શ્રદ્ધા કહેવાય ખરુંને!!!  આ ગરીબ પછાત ગણાતી દેવી પૂજક કહેવાતી જાતોનાં લોકો માતા મેલડીને માનતા હોય છે. અને માતાજીને ખુશ કરવા ડાકલા વગાડતા હોય છે. ભૂત ભગાડવા પણ ડાકલા વગાડતા હશે. મૂળ તો દેવી પૂજક એટલે દેવી એટલે કે ભગવાનને સ્ત્રી રૂપે, માતા રૂપે, શક્તિ રૂપેણ પૂજતાં લોકો. શું ભગવાનને ફક્ત પુરુષ તરીકે જ પૂજી શકાય? માતા તરીકે નહિ? રામ તરીકે જ પૂજી શકાય? અંબા તરીકે નહિ? રામજીની ભક્તિ શ્રદ્ધા કહેવાય અને દેવી પૂજા અંધશ્રદ્ધા? રામ અને હનુમાનજીને પૂજનારા ધાર્મિક મહાન ભક્તો અને મેલડીને પૂજતાં ગરીબ લોકો અંધશ્રદ્ધાળુ?
   ફેસબુક મિત્ર શ્રી ધીરેન પંડ્યા મેલડી માતા અને ડાકલા વિષે સુંદર માહિતી આપે છે તે વાંચો એમના શબ્દોમાં.
   ડાકલા વિષે બહુ નમ્રતાપૂર્વક વાત કરું, તો ડાકલું એ સૃષ્ટિનું આદિ વાદ્ય છે. શિવજીએ પ્રગટ કર્યું અને વગાડ્યું. શિવ અને શક્તિ અભિન્ન છે, એટલે ડાકલું વગાડવાથી શક્તિ રાજી થાય છે. ડાકલાને અંધશ્રદ્ધા સાથે ન જોડી શકાય.
@ભારતીય સંસ્કૃતિના પાયામાં ચાર વેદ ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. એમાં સામવેદ એ સંગીતનો વેદ છે. સામવેદની ઋચાઓ જે સ્વરમાં ગવાતી એ જ સ્વરો હજારો વર્ષ પછી પણ માતાજીની વેરાડીમાં એ જ સ્વરૂપે જળવાયા છે. જે ડાકલા સાથે ગવાય છે. એને અંધશ્રદ્ધા સાથે ન જોડી શકાય. 
@મેલડીમાં વિષે કેટલાક મિત્રોને ખબર જ નથી કે મેલડીમાં એ કોઈ ભૂત-પ્રેત નથી કે એને કાઢવા માટે હનુમાન ચાલીસા બોલવા પડે. આદિશક્તિના ૩ સ્વરૂપ-મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી. અસુરોને મારવા ખાસ પ્રયોજનથી મહાકાળીએ જે સ્વરૂપ લીધું એ મેલડીના નામથી પૂજાય છે. મેલડીમાંને અંધશ્રદ્ધા સાથે જોડનારાને આ ખબર નથી હોતી. 
ભાઈ ધીરેન પંડ્યાને ઉપરોક્ત માહિતી જાણીતા લોકગાયક શ્રી અરવિંદ બારોટ પાસેથી મળેલી છે.
૨૦૦૬મા ભાદર ડેમ ખાતે દેવી પૂજક સમાજ માટે એક કથા યોજાએલી, દેવી પૂજક સમાજ અંધશ્રદ્ધાળુ અને ભૂત વગેરેના વહેમોથી ભરેલો, એમને સુધારવા આ કથાનું આયોજન થયેલું કે હવે ભૂત પ્રેત બધું ભૂલી જાઓ. ભૂતની બીક લાગે તો હનુમાન ચાલીસા કરો. હેતુ ઘણો સારો હતો. આપણે અહોભાવમાં તણાઈ જઈએ કે એક ધાર્મિક સંત આવું કામ કરે તો સારી વાત કહેવાય. ભૂતકાળમાં ઘણા સંતોએ આવા કામો કર્યા છે. શું અંધશ્રદ્ધાળુ બનવાનું ખાલી ગરીબ લોકોનું જ કામ છે? અમીરોનું નહિ? અમીરોની અંધશ્રદ્ધા દૂર કરવા આવી કોઈ કથા યોજાઈ છે ખરી? મેલડી તરીકે મહાકાલીને પૂજનારા દેવી પૂજકોને સુધારવા માટેની જરૂર શું? કે પછી ગરીબની વહુ સૌની ભાભી? અંધશ્રદ્ધાળુ દેવીપૂજકોને સુધારવા માટે જે પણ પ્રયત્નો થાય તેની સામે શું વાંધો હોઈ શકે? પણ શું ખાલી ગરીબ, પછાત, અભણ, અજ્ઞાની લોકો જ અંધશ્રદ્ધાળુ હોય છે? અમીર, ભણેલા, કહેવાતા જ્ઞાની, ડોક્ટર્સ, એન્જીનીયર્સ, ક્ષત્રિય, બ્રાહ્મણ,વણિક અંધશ્રદ્ધાળુ નથી હોતા? મોટા માણસની અંધશ્રદ્ધા ધર્મ કહેવાય, ભક્તિ કહેવાય, શ્રદ્ધા કહેવાય. નાના માનવીની શ્રદ્ધા મૂર્ખામી કહેવાય, અંધશ્રદ્ધા કહેવાય.
હજારો લાખો અંધશ્રદ્ધાઓ સમાજમાં ચાલતી  હોય છે, પણ વાંધો ફક્ત ગરીબની, પછાતની અંધશ્રદ્ધા સામે જ હોય છે.
     મોટા સુધરેલાં સમાજની અંધશ્રદ્ધાઓ જુઓ.  હનુમાનજીને તેલ ચડાવવું, એમાં કોઈ તર્ક દેખાય છે?  બરોડામાં એક સોસાયટીમાં માણીભદ્ર વીરનું મંદિર છે. વર્ષમાં એકવાર આ મૂર્તિને નવડાવીને જે પાણી ભેગું થાય તેને પ્રસાદ તરીકે પીવાય છે. હવે આ મૂર્તિને કલર પણ અમુક જગ્યાએ લગાવેલો હોય છે. આ ગંદું પાણી પ્રસાદ કહેવાય છે. અહીં નવરાત્રિમાં યજ્ઞ કરીને જે કપલને છોકરા થતા નાં હોય તેને એમાં આહુતિ આપવા બેસાડાય છે અને પેલું ગંદું પાણી પીવા અપાય છે. પ્રસાદરૂપે ધરાવેલું સફરજન ખાતા ખાતા અને ગંદું પાણી પીતી  ભણેલી ગણેલી જૈન સમાજ તથા અન્ય સમાજની સ્ત્રીઓ જાણે હાલ જ પ્રેગ્નન્ટ થઈ જવાની હોય તેમ અહોભાવમાં મગ્ન થઈ જતી, અને આવી ભણેલી મુર્ખીઓના ફોટા પાડતા પાડતા મને ખૂબ હસવું આવતું.  જૈન સમાજ તો ખૂબ સુધરેલો ગણાય છે ને? બરોડામાં મેં એકવાર જાતે જે પણ ડૉક્ટરનું સાઇન બોર્ડ દેખાય તેની અટક યાદ રાખીને ગણવાનું શરુ કરેલું. મેક્ઝીમમ ડોક્ટર્સ શાહ અટક ધરાવતા હતા. યજ્ઞ કરવાથી છોકરા થતા હોય તો પછી જોવાનું જ શું રહે? ત્યાંના મહારાજ સાહેબ કહે કાળું પેન્ટ પહેરીને કેમ આવ્યા છો? માણીભદ્ર દાદાને ત્યાં કાળું નાં ખપે. મેં જોયું ત્યાં મારા સિવાય કોઈ કાળા વસ્ત્રોમાં હતું નહિ. આખી ઘેટા ભીડ જાણે મેં કોઈ મહાન ગુનો કર્યો હોય તેમ મારી સામે જોઈ રહેલી. મેં વળતો જવાબ આપ્યો કે મારા માથાના વાળ પણ કાળા જ છે અને અહીં ઉપસ્થિત બધાના વાળ કાળા છે શું કરશો?
  મારા એક મિત્ર હરેશ દવે જ્યોતિષ હતા. કોઈ વૈષ્ણવ આચાર્યની દીકરીનું લગ્ન હતું. ભગવાન સ્વરૂપ આચાર્ય પોતે બ્રાહ્મણ જ્યોતિષીની સલાહ લેતા. આ દવે સાહેબ પેલાં લગ્નમાં હાજરી આપવા ગયેલા. મને કહે શું કહું? લગ્નમાં આવેલા બધા આચાર્યો, મહારાજશ્રીઓ,બાવાશ્રીઓ જમવા બેઠેલા, બહાર ભક્તોની ભીડ જામેલી. જેવા પેલાં જમીને ઉભા થયા કરોડપતિ વૈષ્ણવ વાણિયાઓ એંઠી પતરાળીઓ ઉપર તૂટી પડ્યા. આવું જ બધે જ ચાલતું હોય છે પણ આતો ધર્મ કહેવાય, ભક્તિ કહેવાય, શ્રદ્ધા કહેવાય. આચાર્યોને સ્ત્રીઓ ધરાવી દેવી તે સમર્પણ કહેવાય, ભક્તિ કહેવાય. સાઈરામ કાળી મર્સિડીઝમાંથી ઊતરીને ચાલતો હોય ત્યારે એના જે પગલા પડ્યા હોય તેમાંથી ધૂળ લઈને ફાકનારા મહાન ભક્તો શ્રદ્ધાળુ કહેવાય. અને ડાકલા વગાડતો માતાજીની આરાધના કરતો મૂરખ ગણાય. જો હનુમાન ચાલીસાથી વિશ્વાસ વધતો હોય બળ વધતું હોય તો પેલાંને એના ડાકલા વગાડવાથી પણ વિશ્વાસ વધતો જ હશે, બળ વધતું હશે.
     પારકી બૈરી લઈ જઈને ભજન ગઈ લેનારા પીર કહેવાય અને છનિયો આવું કરે તો જેલમાં પોલીસ મારી મારીને ધુમાડા કાઢી નાખે. ગર્ભવતી પત્નીને એક લોન્ડ્રીમેનના મહેણાંથી વનમાં મોકલી દેનારાને આપણે ભગવાન કહીએ છીએ અને કોઈ ચંદુ કે કાંતિડો આવું કરે તો સ્ત્રીઓ પર જુલમ કરનારો, અજ્ઞાની, મૂરખ, રાક્ષસ કહેવાય.  કોઈ બચરવાળ દેવી પૂજક મફલાની આણન્દીને ભોળવીને કોઈ નાત આગેવાન ઝૂંટવી જાય તો આપણે ચુપ રહીએ છીએ. અને કોઈ કચરા મગન ભીખલીને લઈને ભાગી જાય તો ચારિત્રહીન નાલાયક, પછાત કહેવાય. કોઈ ક્લીન્ટન મોનિકા સાથે લફરું કરે તો આપણે તે વિદેશી હોવાના નાતે ખૂબ ગાળો દઈએ છીએ. પણ આ ક્લીન્ટનને પાંજરામાં ઊભો કરી દેવાય છે, આપણે ત્યાં નગર પંચાયતના એક મામૂલી સભ્યને પણ કશું કરી શકતા નથી.
   ગરીબની અંધશ્રદ્ધા પણ ગરીબ હોય છે, પૂરી કરવામાં બહુ પૈસા થતા નથી. ભૂવા કચરાજી એક કૂકડું, એક દારૂની બોટલ અને થોડા પૈસામાં ભૂત કાઢી આપે. અને દારૂ કોણ નથી પીતું? કોઈ ભૂવાને કરોડપતિ જોયો??અમીરની અંધશ્રદ્ધા અમીર હોય છે. સોનાના મુગટ, દસ કરોડનું સિંહાસન તે પણ બાળ બ્રહ્મચારી હનુમાનજીને? ધબ્બા વિજ્ઞાનનાં પ્રણેતા સ્વામીનો ધબ્બો ખાલી ૫૦૦૦ ડોલર્સમાં પડતો હોય છે. થર્ડ ગ્રેઈડના સંતોની પધરામણી ૧૦૦૦ ડોલરમાં પડતી હોય છે. એક  મોટેલવાળાને આવી સ્ત્રીઓના મુખ નાં જોતા સંતોની પધરામણી અશ્વેત  સ્ત્રીનું અપમાન કરવા બદલ ૫૫૦૦૦ હજાર ડોલર્સમાં દંડ રૂપે પડી હતી  તે વાત વળી જુદી છે. આવા ધબ્બા ખાધેલાને પણ મજૂરી કરતા મેં જોયા છે. યજ્ઞમાં થોડા સુગંધિત દ્રવ્યો હોમવા માટે વળી મુરખોએ એમના કીમતી જીવ પણ આપ્યા છે. હરદ્વાર જઈ આવેલા એક ભાઈના જણાવ્યા મુજબ ભીડ ખૂબ હતી. દરેકને આહુતિ આપવાનો ચાન્સ મળે તે માટે બધાને અમુક સંખ્યામાં મંત્રો બોલી આહુતિ આપી ઉભા થઈ જવાનું હતું જેથી બીજાને લાભ મળે. એમાં હું રહી જઈશ તો? સ્વર્ગની ટીકીટ બુક કરાવવા જો આવેલા. એમાં કોઈ વૃદ્ધ મહિલા ઉતાવળ અને ભીડમાં ગબડી પડ્યા અને થઈ થોડી ધક્કામુક્કી. એમાં કોઈ બોલ્યું કે આંતક આવ્યું. બસ કાયર, ડરપોક, શિસ્ત વગરની પ્રજા પછી શેની ઊભી રહે?  ૨૨ જણા તત્કાલ રીજર્વેશન યોજના હેઠળ તરતજ સ્વર્ગમાં શ્રી રામ શર્મા આચાર્ય પાસે ગાયત્રીધામમાં સ્વર્ગમાં પહોચી ગયા. આવું ધોરાજીમાં પણ બનેલું જ ને? તે બધા વૈકુંઠમાં પહોચ્યા કે નહિ? કોઈ તપાસ કરો જરા.
    તાત્વિક રીતે એક ભૂવા અને આવા મહારાજોમાં કોઈ ફરક નથી, એક ગરીબ છે એક અમીર. એક અભણ છે બીજો ભણેલો. અંધશ્રદ્ધાની બાબતમાં બુદ્ધિશાળી બચ્ચન અને બલીયો રાવળ બંને એક સમાન જ છે. એક મંદિરમાં ઘંટ વગાડે છે બીજો માતાજીની દેરીએ ડાકલું વગાડે છે. અંધશ્રદ્ધાની બાબતમાં નીતા અંબાણી અને કન્કુડી બંને એક સમાન છે, એક શ્રીનાથજી જઈને મોંઘાં શણગાર ભેટ આપે છે બીજી એની ખખડધજ માતાજીની દેરીએ ચૂંદડી ચડાવે છે. એક ભજનિયા ગાતો પોકાર પાડતો હોય છે, બીજો ધૂણતો હોય છે. બંનેની બ્રેઈન સર્કિટ સરખીજ હોય છે. અમીર એની અંધશ્રદ્ધામાં મસ્ત હોય છે તો દરિદ્ર દેવીપૂજક એની અંધશ્રદ્ધામાં મગન હોય છે તો એણે  શું ગુનો કર્યો ??
  શું ફરી આવી કોઈ કથા થશે ખરી ઊંચી કોમના લોકો માટે? કે અલ્યા હવે ધબ્બા મરાવી બરડા તોડાવશો નહિ, હનુમાનને તેલ ચડાવી ગટરમાં જવા દેશો નહિ, મહારાજોનું એંઠું ખાશો નહિ, કે એંઠું પાણી પીશો નહિ, સાઈરામનાં પગની ધૂળ ચાટશો નહિ(સાઈરામ હમણા જેલમાં છે), ભૂત તમારા મનનો ભય છે તેના માટે ના મેલડી કે ના હનુમાન ચાલીસાની જરૂર છે. આવી કથા કરશે ખરા? નહિ કરે, એક મંચ ઉપર જો બેસવાનું છે. શંકરાચાર્ય મર્ડર કેસમાં પકડયા ત્યારે આ તમામ સમાજ સુધારક નાટકબાજો  એક મંચ ઉપર બેસીને રડતા હતા, ક્યારે કોનો વારો આવી જાય?
મારા મિત્ર પ્રદીપ પટેલ ચાણોદ ગયેલા સ્વાધ્યાય પરિવારની કોઈ શિબિર હતી. એક હવન જેવું કરીને બધા એમાં કાગળો હોમતા હતા. એમને માહિતી મળી કે તમારા જે પાપ કર્યા હોય તે લખીને આમાં હોમી દો એટલે બધા પાપ બળી જશે. એમને થયુ કે સારો ચાન્સ મળ્યો છે, જે કોઈ ભૂલમાં કર્યા હશે બધા આજે બળી જશે, મુક્ત થઈ જઈશું. કાગળમાં કરેલા, ના કરેલા પાપો લખીને કાગળ નાખવા ગયા તો રોકવામાં આવ્યા. સ્વાધ્યાય પરિવારમાં હોય તેના પાપો જ બળી શકે બીજાના નહિ. આખી જીંદગી ગીતા વિષે ભાષણો ઠોક્યા તેમના ભક્તોની આ અંધશ્રદ્ધા. પણ સોરી આ તો ધરમ કહેવાય ને? પંકજ ત્રિવેદીનું મર્ડર થયું કોઈ બેટો હોય જો બોલે તો?  આ બધા તો ઉચ્ચવર્ગના ભૂવાઓ છે. આ બધી અંધશ્રદ્ધાઓ તો સવર્ણોની, ઉચ્ચ ધનિક વર્ગની એના વિષે કોણ કથા કરશે? કોણ ઢોલ વગાડશે?
  બાપુએ ડાકલા તો વગાડ્યા પણ આ અમીરોની અમીર અંધશ્રદ્ધાઓ દૂર કરવા માટે ઢોલ કોણ પીટશે?? કોઈ શિક્ષકનું આ કામ નથી. શિક્ષકનું કોઈ માનશે પણ નહિ. મૂળ કૉન્સેપ્ટ એ હોય છે કે હવે તારી અંધશ્રદ્ધા દૂર કર અને મારી શરુ કર. મેલડી મુક હવે હનુમાન ચાલુ કર. નમઃ શિવાય બંધ કર અને શ્રીનાથજી બાવા બોલ. દીવા પ્રગટાવવાનું બંધ કર અને માખણ મીસરી ધરાવી પુષ્ટ થા. અંબા, દુર્ગા, રામ, કૃષ્ણ, શિવ બધા ભૂતપ્રેત છે ફેંકી દે બધા દેવલા,  પ્રગટ બ્રહ્મ સ્વામી જ ખરા. મારો બિજનેશ ઓછો થવો ના જોઈએ. ધર્મના ક્ષેત્રમાં બીજો આલ્ફા છે તે ના ચાલે મારે આલ્ફા બનવું છે. કોઈને સમાજ સુધારવો નથી. સમાજ ખાલી એક દેવીપૂજક જ્ઞાતિ નથી. સમાજ તો બહુ વિશાલ છે. અંધશ્રદ્ધા ખાલી દેવીપુજકની જ કેમ દૂર કરવાની? કે પછી ગરીબની વહુ સૌની ભાભી????અને અમીરની વહુ મોટી બહેન??

170 thoughts on “ગરીબની વહુ સૌની ભાભી.”

  1. બાપુ આપનું એકે એક કથન સત્ય થી ભરપુર છે.ભારતદેશ ની જાની – માની હસ્તી ઓ જો આવા પ્રયોગો કરી પોતાનો સ્વાર્થ સાધતી હોય ત્યાં તેનું અનુકરણ કરનારા પણ તે જ કરવાના .આવા કિસ્સા ઓ જાણ મા આવે ત્યારે મન મા પેદા થતી મિશ્ર લાગણી ઓ પર કાબુ રાખવો મુશ્કેલ બની જાય છે, કે આ લોકો ને કોઈ કહેવા વાળું છે કે નહિ? નિરક્ષરો નું અનુકરણ કરનારા કોઈ નથી કરતા, પણ સાક્ષરો ની નકલ કરનારા ઓ ને કોણ રોકે?

    Like

      1. excellent,. i belive some educated people must read and follow . andh shradha should be gone when think about argument of this lekh. 1000 ; 1 people by their luck get something and all sant. baba, guru, bapu, are said look this seth get millions rupees by this process, you must do.they advice given other than their business run well. if they given by their power why should they not try for theie self, their son, or their family. duniya zukti hai zukanaval chahia. excellent lekh shri bhupendrabhai. right more may some body read and save somebody from “ANDH SHRADDHA”

        Like

  2. શ્રી ભુપેંદ્રસિંહજી,

    ખૂબજ સુંદર લેખ ! આપની પરવાનગી મળશે જ તેવી ધારણા સાથે મારાં બ્લોગ ઉપર આ લેખની આપના નામ સાથે લીક મૂકી છે. કદાચ મારી આ ચેષ્ટા પસંદ ના પડે તો મને નિખાલસતા સાથે જણાવશો જેથી હું તે રદ કરી શકું.
    આભાર !
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

  3. આ વિષય પર આપણે પહેલાં ચર્ચા કરી જ છે, કદાચ મીતાબહેનના બ્લૉગ પર.
    પહેલાં તો દેવીઓની જ પૂજા થતી, દેવો પછી આવ્યા. આદિવાસીઓની દેવી હોય એટલે આપણે ભણેલા એમ જ માની લઈએ કે એ અંધશ્રદ્ધા જ હોય! આવી માન્યતાઓનો ઉપયોગ પોતાના મતને સ્થાપિત કરવા થાય છે -અને એ આજની વાત નથી. એ જ અઢી-ત્રણ હજાર વર્ષની પરંપરા રહી છે. આમ છતાં મહાકાળી અને શિવ આજે પણ ટકી રહ્યાં છે, એ જ એમની ખરી શક્તિ છે!
    શ્રી ધીરેન પંડ્યાએ ડાકલા અને સામવેદના સુરો વેરાડીમાં સચવાયા હોવા વિશે સારી માહિતી આપી. મારાં અભિનંદન અને આભાર એમને પહોંચાડશો.

    Like

  4. અંધશ્રધ્ધા અને શ્રધ્ધા અંગે ચિંતનાત્મક લેખ.
    અંધશ્રધ્ધા વારંવાર ચર્ચા તો વિષય રહ્યો છે જ અને સામાન્ય તારણ એ રહ્યું છે કે નિશાન અંધશ્રધ્ધા પર તાંકવુ રહ્યું ન કે દેવ દેવી પર! આજે શક્તિ સ્વરુપા મા અંગે થોડું જોઈએ .મા કાલી કે મૅલડીમાનું રૂપ , વિશ્વના શાસક તરીકેની તેમની ભૂમિકા અને ધ્યાનના પાત્ર અનુસાર અલગ રીતે પ્રદર્શિત થાય છે. તેમના ભયંકર પાસાંઓથી વિપરીત, તેમનું રૂપ આડકતરી રીતે વધુ સૌમ્ય પાસાંને સૂચવે છે. તેમને યુવાન અને સુંદર દર્શાવવામાં આવે છે, તેમના મુખ પર સૌમ્ય સ્મિત હોય છે, અને તેમના બે જમણા હાથ કોઈ પણ ડરને દૂર કરવાની ભંગિમા અને આશીર્વાદની મુદ્રા દર્શાવે છે. તેમના વધુ હકારાત્મક પાસાંઓ મુક્તિની દેવીમાં શુદ્ધિકરણ માટેના દૈવી ક્રોધને બહાર દર્શાવે છે, જે સાધક ને ભયમાંથી મુક્ત કરે છે. અહીં, કાલિ મૃત્યુ પર વિજયના પ્રતીક તરીકે પ્રદર્શિત થાય છે.
    ભક્તિ સાહિત્યમાં પણ કાલિ એક કેન્દ્રીય પ્રતિમા છે. કાલિ પ્રત્યેનો તાંત્રિક અભિગમ તે તેમના ભયંકર દેખાવ છતાં, સ્મશાનભૂમિમાં રાત્રિના અંધકારમાં તેમનો સામનો કરીને હિંમત પ્રદર્શિત કરવાનો છે. તેનાથી વિપરીત, ભક્ત એક બાળકનું વલણ ધરીને, કાલિના બોધને ગ્રહણ કરે છે. બંને કિસ્સામાં, ભક્તનું ધ્યેય મૃત્યુ અંગે સમાધાન મેળવવાનું અને બાબતો જેવી છે તેને સ્વીકારતાં શીખવાનું છે.કવિ રામપ્રસાદ ટીકા કરે છે કે કાલિને તેના ક્ષેમકુશળતા સાથે કોઈ લેવાદેવા નથી, તે એને પીડા આપે છે, તેની દુન્વયી ઇચ્છાઓને શૂન્ય પર લાવી મૂકે છે અને તેની દુન્વયી સમૃદ્ધિનો નાશ નોતરે છે. એક માતાની જેમ વર્તણૂક કરતાં નથી અને તેમની આજીજીઓની ઉપેક્ષા કરે છેઃ
    જે પથ્થરમાંથી જન્મી છે તેના હૃદયમાંથી શું દયા મળી શકે?જો તે નિર્દય ન હોત, તો શું તે પોતાના સ્વામીની છાતી પર લાત મારત?લોકો તને દયાળુ કહે છે, પણ તારામાં દયાનો કોઈ છાંટો નથી, માતા.તેં અન્યોનાં બાળકોનાં માથાં વાઢી નાખ્યાં છે, અને તેમને તું તારી ગરદન પર માળા તરીકે પહેરે છે.હું તને કેટલી વાર “મા, મા” કહીને પોકારું છું તેનું કોઈ મહત્ત્વ નથી. તને મારો અવાજ સંભળાય છે, પણ તું સાંભળીશ નહીં.રામપ્રસાદ ભારપૂર્વક કહે છે, કાલિના સંતાન હોવું એટલે તમામ દુન્યવી આનંદ અને મોજશોખ માટે નકાર પામવો. જેની અપેક્ષા હોય તે ન આપવું એ કાલિની લાક્ષણિકતા કહેવામાં આવે છે. એક ભક્ત માટે,
    કદાચ કાલિનો એમ કરવાનો ઈનકાર જ તેમને તેમનાં પોતાનાં દૃષ્ટિકોણો અને ઐહિક વિશ્વ કરતાં પર રહેલાં સત્ય વિશે વિચારવા સાર્મ્થ્યવાન બનાવે છે.
    બંગાળી ભક્તિ સંગીતનો નોંધપાત્ર ભાગ કાલિને તેની કેન્દ્રીય રચના તરીકે દર્શાવે છે અને તે શ્યામા સંગીત તરીકે જાણીતું છે. મુખ્યત્વે પુરુષ ગાયકો દ્વારા ગવાતાં આ સંગીતના સ્વરૂપને, આજે મહિલાઓએ સુદ્ધાં શરૂ કર્યું છે. શ્યામા સંગીતના સૌથી સારા ગાયકોમાંના એક એ પન્નાલાલ ભટ્ટાચાર્ય છે. આમાં અંધશ્રધ્ધાઓ જણાઇ ત્યાં ત્યાં દરેક કાળમા પ્રહારો થયાં જ છે.દરેક ભક્તીમાં પ્રથમ યમ નિયમનું પાલન કરી પોતાની શુધ્ધિ કરવાની હોય છે અને તેને પામવાનો પુરુષાર્થ કરવાનો છે.

    Like

    1. પૂજ્ય બહેન,

      તમારા પ્રતિભાવમાં નીચેનું વાક્ય વાંચ્યું:
      “કાલિના સંતાન હોવું એટલે તમામ દુન્યવી આનંદ અને મોજશોખ માટે નકાર પામવો.”

      આના પરથી યાદ આવ્યું:
      “જે કોઈ પોતાનો ક્રૉસ લઈને મારી પાછળ ન આવે તે મારો શિષ્ય ન બની શકે” (નવા કરાર, લ્યૂકની સુવાર્તા ૧૪/૨૬); અને
      “તમારામાંથી કોઈ પણ એમનું સઘળું છોડ્યા વિના મારો શિષ્ય ન બની શકે”((નવા કરાર, લ્યૂકની સુવાર્તા ૧૪/૩૩);

      અને આપણું પોતાનું:
      “હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો ને,
      પરથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જો ને”

      આની જગ્યાએ આધુનિક ગુરુઓ, બાબાઓ, બાપુઓ અને ભગવાનોએ ધર્મને એવો પામર બનાવી દીધો છે કે એ બિચારો ક્યાં જાય?

      Like

  5. બરાબર ના ધોકાવ્યા બાપુ ,..!!

    ઉપરથી આ કહેવાતા મહાન સંતો કેટલા ઉદાર દિલ ના છે એના વિશે કિન્નર ભાઇ એ તાજેતર માં જ એક લેખ લખેલો… એક જુની બળતરા ત્યાં ઠાલવી હતી… 🙂

    હલકુ લોહી હવાલદારનું એ કહેવત પણ અહિં બરોબર લાગુ પડે છે. સમાજ માં અમિતાભ કે સચિન તેન્દુલકર જઈ ને કોઇ મંદિર માં કોઇ ચોક્કસ વિધી કરાવે તો એ મંદિરો માં ભક્ત જનો ( અંધજનો) ની લાઇન લાગી જાય છે.

    ઇશ્વરનું અસ્તિત્વ હોવું કે ના હોવું એ અલગ ચર્ચાનો વિષય છે પરંતુ આ દુકાનો બંધ થવીજ જોઇએ. હું તો આ વેપારીઓ ને વેપાર નથી આપતો, અને જે આપે છે તેના પર ગુસ્સા કરતાં દયા વધારે ઉપજે છે.

    Like

  6. આદરણીયશ્રી. ભુપેન્દ્રસિંહજી

    ખુબ જ સુંદર લેખ આપે મુકેલ છે.

    આ જમનામાં કેપ્ટન ધોનીની ચેસ્ટા જુઓ

    ” આ દુનિયા અહ્મ અને વહેમમાં જ ખલાસ થઈ જવાની ”

    આવા માધ્યમો દ્વારા અસરકારલ અસર ઉભી કરી શકાય.

    Like

  7. Dear Bhupendra bhai,

    Aaj ni tamari vat mane bahu interesting lagi chhe..kem ke hu aava bhuva ane dakla ni sangathe moti thai chhu. Meladi ma ne pujva ni rit ne barabar janu chhu. Mara balpan ma Meladi ma na chokha ghee na deva ni vat divo bandh thay etle khai jati hati..te pan mane yad chhe..karan ke ghee ni sugand etli jordar lagti hati.. he he he.. mandir nu anganu maru ramava nu sthan hatu..
    Meldi ma no mando kare bhuva bolave ane prasad ma ghav na lot ni lapsi banave ghee redi ne pirse ..ane te prasad khava ni je maja avi chhe te swad mane bije koi divas malyo nathi.. aaje pan hu aa swad ne vagoru chhu

    In short I wanted to say I was believing in Melady ma that day and still carries the same bhav today after being in America more than 30 years…

    Shradha te tamara dil ni vat chhe..

    Thank you for bringnig my balpan’s memories back.
    Pranam

    Like

    1. Placebo…સારી ઉપમા. એક શબ્દમાં તમે આખો લેખ લખી નાખ્યો છે, જાણે આભ સામે આભલો ધર્યો!

      Like

  8. મોટા કરે એ નાટક અને નાના કરે એ ભવાઇ…..આપ આટલા બધા સોરી સમ્પૂર્ણ નાસ્તિક હોવા છતા તમે હિન્દુ

    દેવ દેવીઓ વિષે બહુ તલસ્પર્શી જ્ઞાન ધરાવો છો એજાણીને આશ્ચર્ય થાયછે.તમે રાજવંશી છો ઢોલપીટીને લોકોને

    જાણ કરો તોયે પ્રાણ અને પ્રક્રુતિ સાથે જાય અથવા પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહિ એમ ગાડરિયા પ્રવાહમા

    તણાયેલા લોકોના કાન સુધી તમારો અવાજ પહોચે તોય સારુ.લોકોને વહેમોમા રાચવાનુ બહુ ગમતુ હોય છે.આપનુ

    લખાણ શુધ્ધ કંચન જેવુ છે એમા બેમત નથી. ક્યારેકતો કોઇને અસર થશે , તમારુ લખેલુ શાશ્વત રહેવા સર્જાયુ છે.

    Like

  9. તમે લખ્યું કે,

    “ગમે તેટલા ધોકાવીએ કોઈ ફરક પડતો નથી. ” ભલે. પણ ફેર પડે જ. પડશે જ. દરેક યુગમાં આવું ધોકૈણાકાર્ય થતું જ રહ્યું છે ને એની અસરથી સુધારાઓ પણ થયા જ છે. સવાલ આવી ધોકાબાજી કરનાર મળતા નથી તે છે.

    તમારું તો બ્લોગનામ જ કુરુક્ષેત્ર છે, ને શીર્ષકટેગ પણ જોરદાર છે. થાવા દ્યો તમતમારે. અમેય યથાશક્તી ગુર્જરીનેટે ગુંથાય એટલું ગુંથીએ છીએ…ક્યારેક ગુંચવી નાખીએય ખરા…! પણ તમારું ને ગોવીંદભાઈનું તો કામ જ એકધારું ને ધારદારું છે !!

    Like

  10. ભુપેન્દ્રસિંહ:
    આ વિષયને જાહેર ચર્ચામાં લાવવા બદલ અભિનંદન પાઠવું છું. આશા રાખીએ છીએ આ વિષયને જાગતો રાખવા સક્રિય રહો.
    આપે હજુ સપાટી ઉપર જ નજર નાખી છે. ઉડાણમાં જશો તો પુસ્તકો ભરાઈ જશે.
    મોટા ભાગનો કહેવતો ભણેલો વર્ગ આવી અંધશ્રદ્ધાઓં ટેકો આપી રહ્યો તે નોધાવાપાત્ર છે.
    કેશવ

    Like

    1. કેશવભાઈ
      ખૂબ ખૂબ આભાર. ભણેલો વર્ગ અંધશ્રદ્ધાને ટેકો આપે તેને ધર્મ કહેવાય છે અને ગરીબોને વખોડવામાં આવે છે.

      Like

  11. તમે એક માત્ર આસ્તિક લાગો છો ઈમાનદારીની મારી defination છે કે જે
    માનીએ તે મુજબજ જીવવાનું બીજી રીતે જીવીએ તો આપણે
    પોતાની જાત સાથેજ cheating કરીએ છીએ જે પોતાને છેતરે તેનાથી મોટો
    બેઈમાન કયો હોય ? બધા પોતાની જાતનેજ છેતરે છે તેમનાથી કોઈ અપેક્ષા રખાય નહિ લોકો બહુજ
    inferier કોમ્પ્લેક્ષથી પીડાય છે પુરુસત્વ વગરના બાયલા બનતા જાય છે કોઈ કર્મ કર્યા વગર બીજા
    થાકી બધુંજ અંને બધાથી વધારે જોઈએ છે જીતીને નહિ પણ ભીખીને લેવું છે માટે આવા લોભિયા બાયલા
    માણસો આવું કરે છે .

    Like

  12. શ્રી bhupendrasinhji,

    સૌ પ્રથમ તો આપ નો ખુબ ખુબ આભાર કે આવા ગંભીર વિષય પર આટલું સરસ લખ્યું. aa અંધશ્રદ્ધા એ તો લાખો લોકો નો ભોગ લીધો છે અને ખબર નહિ હજુ પણ કેટલા નો લેશે ?
    દરેક વ્યક્તિ જયારે તેના પરે કઈ તકલીફ આવી પડે ત્યારે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંધશ્રદ્ધા માં આવી જ જાય છે. મારું તો એવું માનવું છે કે જો ભગવાન જ બધું કરતો હોઈ તો આપના જેવા મનુષ્ય ની કોઈ હેસિયત નથી કે આપણે સારા અથવા ખરાબ કર્મો એટલે કે પાપ કે પુણ્ય કરી શકીએ. આપને જે કઈ પણ કરીએ છીએ તે નિયતિ છે.

    હું ઘણી વાર આવી અંધશ્રદ્ધા નો મુક શાક્ષી બન્યો છું જાણવા છતાં પણ કઈ પણ કરી શકતા નાં હોઈ તે સૌથી ખરાબ પરિસ્થિતિ હોઈ છે.

    આપનો ખુબ ખુબ આભાર.

    Like

  13. u r doing great job kindly keep it up પોતાની તાકાતથી કરેલી kamanij ગમવી જોઈએ
    પોતે પેદા કરેલા બાળકોજ ગમવા જોઈએ
    બીજા પાસે પેદા કર્રાવવા અને તેનો આનંદ
    લેવો તે માનસિકતા આવા મૂરખ લોભિયા
    ભક્તોની પુરવાર થાય છે
    please reply at your ease

    Like

  14. Dear brother,
    I have been away from internet due to some reasons. First of all i must admire your ability of coming up with new articles every time, that too with reality. you have correctly indicated that faiths of rich or poor people are equally baseless and must be condemned. ” samarth ko koi dosh nahi ” goes well with that. After all majority of people are following such influential lot. Even their toilet movements are enthusiastically covered by the media. However i must point out that in “Devi pujak” samaj crime rate has increased tremendously. This may not have to do any thing with their faiths or beliefs. It may have some bearing with their lack of education and social backwardness. Coming to the point, you must not look everybody who is praying God or worshiping Him with a prejudiced mind. There is lot of things going on there. Every one has his own perception about the world and its creator. But i can say this much in favor of your article that believing or not believing without “knowing” is foolishness.
    Thank you.

    Like

    1. ભાઈ શ્રી પ્રદીપકુમાર રાઓલ
      તમારા લગભગ બધા લખેલા મોટા ભાગ ના અભિગમો માં એક તર્ક બદ્ધ અને વિજ્ઞાનિક ની ઢબે વિચારેલ અભિગમો
      મને લાગ્યા છે. હું પણ વિજ્ઞાન ભણેલો છું. મારી સમજ મુજબ વિજ્ઞાન માં માપવાનું , ગણતરી કરવાનું અને આંકડાઓ (Numbers) થી મુદ્દાઓ ની રજુવાત કરાતી હોય છે.

      બહુજ સરળ ઉદાહરણ તરીકે :
      આપણે અંતર (distance) માપી એ છીએ (feet, yard or long distances in miles-kilometers or light years so on and so forth)
      વજન (weight) માપી એ છીએ (gram, kilogram or ton etc etc).
      સમય (time) માપીએ છીએ (minutes, hours, days, weeks, months and years etc etc).
      Electricity is measured in Volts and other unites.

      મારો આ પ્રશ્ન બધાજ મિત્રો માટે છે.
      શ્રદ્ધા અને અન્ધશ્ર્ધા કોઈ રીતે માપી શકાય? તેને માપ ના હોઈ units આપી શકાય?

      Like

      1. Dear Nir is life,
        Faith or opposite of it deals with the mental and till today no science has been able to quantify it. There are many more such things like, love, affection, hatred, generosity, kindness and so on. Scientist have tried to measure even intelligence by say determining person’s IQ etc. However it can not be measured or quantified to the exact degrees. You can have an idea of the intensity of such feeling. less love, more love and similarly for other feelings. Now having half replied to your question let me come to your basic question as how to measure faith or non-faith. for me both are synonyms in its true sense. whether you believe or not believe in both these terms “believing” comes. When a person looses all rationality either in believing or not believing could be termed as a person having ‘blind faith’. Therefore, there can not be measurable units when we are dealing with faith.

        Like

  15. શ્રી. ભુપેન્દ્રસિંહજી.
    ધોનીએ આપેલું બકરાનું બલિદાન, ઐશ્વર્યાએ ફર્યા વૃક્ષ સાથે ફેરા, અંબાણીભાઈએ વાસ્તુદોષને કારણે એન્ટીલા (એવું જ કંઈક નામ છે !)માં રહેવા જવાનું ટાળ્યું, આ બધુ અંધશ્રદ્ધા ના કહેવાય !! આપે કદાચ સાંભળ્યું નથી, ’સમરથ કો નહીં દોષ ગુંસાઈ’… (બદામ ખાઓ બદામ, આપ વિસરી બહુ જાઓ છો 🙂 )

    તો, આજે આપના પંડમાં દેવી પ્રગટ્યા અને આપે દેવીપૂજક સમાજ (કે એવા ઘણાં અંધશ્રદ્ધાળુ કહેવાતા સમાજો)ની ભોર તાણી (ભોર તાણવી = તરફેણ કરવી). સારું કર્યું. અમે તો એ ધોકો પછાડી પછાડીને થાક્યા કે ભ‘ઈ અમ ગરીબ- બચાડાઓનો જ શું વાંક ? કે પછી તાલેવંત કરે ઈ લીલા અને ગરીબ બીચારા કરે ઈ છીનાળા ?! ભ.ગો.મં. કહે છે કે ’ગરીબ’નો મૂળ અર્થ ’અજાણ્યો’ એવો થાય છે. એક અર્થમાં ’જે જાણતો નથી’ એમ પણ કહેવાય ને ! તો જેને ઝેર પ્રતિરોધક રસીની જાણકારી નથી તે સર્પદંશનો ઈલાજ કરાવવા ક્યાં જશે ? ગારુડી પાસે જ ને ? તો જાણકારનો ધર્મ એ છે કે તેને જાણકારી આપવી, તે સમજી શકે તેવી ભાષામાં તેને સમજાવવા, તેને બદલે જાણકાર ’વિદ્વાનો’ તો તેની પાછળ ધોકો લઈને ધીબેડવાનો ધંધો જ કરશે ! કહેવાતા ’ભક્ત’ કવિઓએ, સાહિત્યકારોએ, (જે ખરેખર તો સમાજ સમજે તે ભાષામાં સમજાવનારા હતા !) આ સમાજ સુધારનો ધંધો બહુ કર્યો પરંતુ કહેવાતા બુદ્ધિમાનોએ તેમને ’અભણ’, ’ગમાર’, ’ગામડીયા’, ’અંધશ્રદ્ધાળુ’ વગેરે વગેરે પારિતોષિકોથી નવાજ્યા છે. અખો, કબીર, નરસિંહ, …. કંઈ કેટલાયે સમાજસુધારકો થયા જેમણે સેંકડો વર્ષ પહેલાંની એ વિકટ સ્થિતિમાં પોતાની મતિ અને શક્તિ પ્રમાણે સામાજીક, ધાર્મિક સુધારણાના કાર્યો કર્યા. આજે જબરજસ્ત તકનિકી સહાય ઉપલબ્ધ હોવા છતાં આપણી વાત પચાસ-સો લોકો સુધી પહોંચાડતા પગે પાણી ઉતરે છે ત્યારે છસો-આઠસો વર્ષ પહેલાંના એ સમયમાં તેઓ પોતાની રચનાઓ દ્વારા ઘરે ઘરે પહોંચી શક્યા, એટલું જ નહીં હજુ પણ છવાયા રહ્યા છે, એ કંઈ જેવીતેવી ઉપલબ્ધિ કહેવાય ? પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે હવે તેઓને ભુલાવી દેવાની પ્રવૃત્તિ થાય છે.

    આપણે ઉપર તુલસીદાસને ટાંક્યા, હમણાં ક્યાંક વાંચેલું જેમાં લોકો તુલસીના આ વિધાનની ટીકા કરતા જોવા મળેલા ! સમર્થને સમાજ દોષ નથી આપતો એ સમાજની ક્ષતિ છે, કદાચ પરાપૂર્વથી ચાલી આવતી સમાજની આ માનસિકતાને તુલસીએ તો પ્રકાશિત કરી છે. તેમણે કંઈ આદેશ નથી કર્યો, અવગત કરાવ્યા છે. આ તો તમાકુના ઉપયોગથી કૅન્સર થાય તેવી જાણ કરનારને કૅન્સરનો કારક સમજવા જેવી ભુલ છે !! આપ મિત્ર છો એટલે કદાચ આપને હું કહી શકું છું પરંતુ ખરેખર આમાં કોઈ વ્યક્તિગત વાત નથી, ખરેખર તો માત્ર આપના માધ્યમથી હું મારૂં જ દર્શન કરવા માંગુ છું. આપણે (હું, આપ અને પોતાને બુદ્ધિશાળી માનતો સમાજ) ખરેખર તો આપણા દૃષ્ટિબિંદુથી જ સૌને નિહાળીએ છીએ, અને કાં તો પેલા પાંચ આંધળા અને હાથી જેવી સ્થિતિમાં રહીએ છીએ. સમગ્રતયા દર્શન કરવાની આપણી કદાચ દાનત જ નથી. (આજકાલની સમાચાર ચેનલોની જેમ આપણને પણ ઘટનાના અધકચરા કટકાબટકાને પકડી સનસનાટી ફેલાવવામાં જ રસ પડતો હોય તેવું લાગે છે !!)

    તો, આપની એ વાત સાથે સંપૂર્ણ સહમત છું કે અંધશ્રદ્ધાની વાત આવે ત્યારે આ અબૂધોને જ શા માટે આંટીમાં લેવામાં આવે છે ! ખરેખર તો વાત એ છે કે અન્યને અંધશ્રદ્ધાળુની છાપ લગાવનારો પોતે પણ કેટલો અંધશ્રદ્ધાળુ હોય છે ?! આંખ જગત આખાનું દર્શન કરી શકે છે પણ પોતાને જોઇ શકતી નથી ! હા, તેની સામે આયનો ધરી દેવામાં આવે તો કંઈક કામ બને !

    * ફલાણો ધર્મ કે સંપ્રદાય કે મત સાવ નકામો જ અને માત્ર અમારો જ સારો. (આ પણ અંધશ્રદ્ધા જ છે)
    * એક દેશ સુધરેલો છે અન્યમાં સાપ અને મદારી જ રહે છે. (આ પણ અંધશ્રદ્ધા જ છે)
    * ’ટ્વિંકલ ટ્વિંકલ…’ ગાનારો સુધરેલો અને ’ચાંદામામા દુર સે…’ કે ’ॐ भूर्भुवः…’ ગાનારા પછાત. (આ પણ અંધશ્રદ્ધા જ છે)

    આ કથાકારો વર્ષોથી કથાઓ સંભળાવે છે છતાં સમાજ કેમ સુધર્યો નથી ?! વિશ્વભરમાં વર્ષોથી ચોરી,લૂંટ,ખૂન વિરુદ્ધના કાયદાઓ અમલમાં છે છતાં સમાજમાંથી એ કેમ ઓછા થતા નથી ? મેલેરિયાની દવા શોધાયાને વર્ષો થઈ ગયા છતાં કેમ મેલેરિયાનો રોગ થાય છે ? જુગલકીશોરભાઈને માથે ગુજરાતીમાં યોગ્ય (જોડણી, બંધારણ વિ.) લખાણ કેમ કરવું તે સમજાવતા સમજાવતા ધોળા (કદાચ !) આવી ગયા છતાં આપણે કેમ સાચું લખાણ કરી શકતા નથી ? વિનયભાઈ અને યશવંતભાઈ જેવાનાં કિબોર્ડ ઘસાઈ ગયા છતાં કૉપી-પેસ્ટની કળા કેમ સચવાઈ રહી છે ? હજારો પ્રશ્નાર્થચિહ્નો મુકી શકાય ! પરંતુ ફરીને સમસ્યા એ જ છે જે મેં આગલા પ્રતિભાવે લખી, ’જાઓ પહેલે ઉસ આદમી કી સાઈન લેકે આઓ…’ !!!

    નાનકડી ચોરી કરતા પકડાયેલો કહેશે, પહેલાં કરોડોની ચોરી કરનારને તો પકડો ! કોઈકની એકાદી રચના ઠેકાવનારો કહેશે, પહેલાં આખેઆખા બ્લોગ ઠેકાવનારને તો પકડો ! શ્રીફળ વધેરનારો કહેશે પહેલાં બોકડા વધેરનારાને તો પકડો ! ભાઈ અમે પણ ભારતીય તરીકે એ જ કહીએ છીએ કે અમને અંધશ્રદ્ધાળુ કહેતા પહેલાં સુધરેલા કહેવાતા દેશના પરમનેતાઓએ ધાર્મિક પુસ્તકને હાથમાં ઝાલી શપથગ્રહણ કરવા પડે છે,,, નાણાં પર ’IN GOD WE TRUST’ લખવું પડે છે,,, કોઈ એક ધર્મના, એમાંએ ફલાણા સંપ્રદાયમાંજ, માનવાવાળા હોય તો જ કાયદાપ્રમાણે સર્વોચ્ચપદે સ્થાપી શકાય છે, પહેલાં તેમને તો પકડો !!! આ તાર્કિક જવાબ લાગે છે ? ના !!!

    તો પછી ’અમીરોની અંધશ્રદ્ધા દૂર કરવા આવી કોઈ કથા યોજાઈ છે ખરી?’.. ’દેવી પૂજકોને સુધારવા માટેની જરૂર શું?’ આ તાર્કિક છે ? (અહીં મને પેલો બાપ, દિકરો અને ગધેડો એ વાર્તા યાદ આવે છે. ક્યારેક સંભળાવીશ) કે પછી સુધારવાનો પ્રયત્ન મોરારીબાપુ કરે એ વાંધો છે ? આપણે બ્લોગવાળાઓ (કે ફેસબૂક વાળાઓ ! કે ઈન્ટરનેટ વાળાઓ !) સવારથી સાંજ (અને સાંજથી સવાર !) સુધી ગામ આખાને ધોકાવ્યે રાખીએ તેનો વાંધો નહીં ! અન્ય કોઈએ આ પ્રયત્ન ન કરવો જોઈએ તેવી કોઈ અંધશ્રદ્ધા તો આપણામાં નથી પ્રવેશી ગઈ ને ??????? (આને ’કડવું’ પ્રવચન તરીકે સૌ મિત્રો લઈ શકે છે, અને મારી કોઈ વૈચારીક ભુલ હોય તો દેખાડી પણ શકે છે, પરંતુ હું પ્રમાણિકતાપૂર્વક કહું છું કે આમા કોઈ પ્રત્યે દ્વેષભાવ નથી માત્રને માત્ર લેખને આધારે, શક્ય તેટલું તટસ્થ, અવલોકન કરવા પ્રયાસ કર્યો છે. અને બાપુલોકોને તો માઠું લાગતું જ નથી એ હું વ્યક્તિગત રીતે જાણું છું ! પછીએ મોરારીબાપુ હોય કે આપણા ભુપેન્દ્રસિંહબાપુ !!) આભાર.

    Like

    1. કેટલાક ’ખાસ’ મિત્રોને ’સબોસબ વિંઝાય’ એમાં ભારે મજા પડી જાય છે !! કદાચ યુદ્ધમેદાનનો ઝાઝો અનુભવ ના હોય તો એક અનુભવીની ચેતવણી સ્વિકારવા વિનંતી; આમાં વિંઝાતી વિંઝાતી ક્યારે જોનારાઓના માથે આવી જાય તેનો ભરોસો નહીં !! આમે કુરુક્ષેત્રમાં માત્ર લડનારાઓ જ હતા, દર્શક ગેલેરી જેવું કંઈ હોવાનો ઉલ્લેખ મળતો નથી ! હા, દૂરદર્શન મારફત જીવંત પ્રસારણની સગવડ હતી ખરી !! તો જેમનાં તલવાર અને બખ્તર કટાઈ ગયા હોય તેમણે દૂરદર્શનનો લાભ લેવો એ જ યોગ્ય છે. 🙂 🙂 આભાર.

      Like

      1. અશોકભાઈ,
        તમે આ પ્રતિભાવમાં અમારા નામનો ઉલ્લેખ ગેરસમજથી કર્યો હોય તેમ અમને લાગે છે. તમે અહીં જણાવ્યું છે કે: વિનયભાઈ અને યશવંતભાઈ જેવાનાં કિબોર્ડ ઘસાઈ ગયા છતાં કૉપી-પેસ્ટની કળા કેમ સચવાઈ રહી છે ?
        મિત્ર, તમે અમારું ઘસાયેલું કી-બોર્ડ જોયું છે?:) આ મોંઘવારીમાં અમને એવો ધંધો પોસાય ખરો?:) વળી, આજના જમાનામાં કોપી-પેસ્ટ અટકાવવું શક્ય છે ખરું?એવું જરૂરી છે ખરું? તમામ કોપી-પેસ્ટ વખોડવાને પાત્ર છે?
        આવા અનેક સવાલો કરવાનું મન થાય છે. જેનો જવાબ અમારી એ રચનાઓ ધ્યાનથી વાંચવાથી મળી શકે છે. એ માટે જરૂરી ખુલાસાઓ પણ કર્યાં છે.
        અમે કોપી-પેસ્ટ માટે જે થોડીઘણી રચનાઓ લખી છે તેની રજૂઆતની મજા માણવાને બદલે તેને એક આંદોલન તરીકે ગણીને અમને સુધારક ગણી લેવાની વાત અમને અન્યાય કરનારી છે! વાચક મિત્રો અમને સુધારક ન માની લે તે માટે આટલો ખુલાસો જરૂરી લાગ્યો છે.
        મિત્ર, જે બ્લોગ પર તમે આ પ્રતિભાવ આપ્યો છે તે બ્લોગ પર માત્ર ને માત્ર વિજ્ઞાન પર આધારિત અને સાબિત થયેલી વાતોને જ સ્થાન છે. તે બ્લોગ પર આવી “કી બોર્ડ ઘસાવાની” મનઘડત વાતને સ્થાન ન હોય શકે. મારું કી બોર્ડ અડીખમ છે.
        બીજી વાત. તમે “ઐશ્વર્યાએ ફર્યા વૃક્ષ સાથે ફેરા” .. એ વાત જણાવી છે. એ ઝાડ તમે જોયું છે? કે પછી મીડિયાએ એ વાત જણાવી અને સાચી માની લીધી છે? શ્રીમાન બચ્ચન તો જણાવે છે કે: બતાવો એ ઝાડ!!
        અશોકભાઈ, અમિતાભ બચ્ચન શ્રદ્ધાળુ કે અંધશ્રદ્ધાળુ છે એ માની લઈએ પરંતુ તે માટે “ઐશ્વર્યાએ ફર્યા વૃક્ષ સાથે ફેરા” એ વાત માની લેવી તે પણ અંધાશ્રદ્ધાનો એક નમૂનો જ થયોને? ક્યાંક કે ક્યાંક આપણે બીજાએ કરેલી વાત પર ભરોસો રાખ્યોને? અને એ વાત પર ધોકા પછાડ્યાને?આપણને એ ઝાડ જોવાની કે ખાતરી કરવાની જરૂર લાગી નહિ. તો મિત્ર, સમાજમાં પણ આ રીતે ભરોસા પર ઘણી ગાડીઓ દોડતી હોય છે! દરેકને એમ લાગે છે કે: મારી ગાડી સાચા પાટા પર દોડે છે અને બીજાની ગાડી ખોટા પાટા પર દોડે છે. અને એમ માનવું એ જ મજાની વાત છે!
        તો મજા માણો અને જલસા કરો.

        Like

    2. જોરદાર ધોકો પછાડ્યો છે. મેલ તો નીકળે કે નાયે નીકળે. પણ ખરો રસ્તો જ એ છે કે આપણે તો ધોબીકાર્ય કરતાં જ રહેવું તે પછી કપડાંનો મેલ હોય કે વહેવારોનો.

      ધનયવાદ.

      Like

    3. ધોકા પછાડવાનું કામ હું એકલો કરું એના બદલે આપ જેવા જોડાઈ જાવ તો સારું લાગે છે. મોરારીબાપુ સુધારવાનો પ્રયત્ન કરે તેમાં કોઈને પણ શું વાંધો હોય? મારો મૂળ મુદ્દો ચાતરી જવાય છે. સુધારવાનો પ્રયત્ન ખાલી નાના લોકો ઉપર જ કેમ? આપણ જેવા મોટા લોકોને કેમ કશું કહી શકાતું નથી? પાંડુરંગ દાદાએ પણ આજ કરેલું. એમણે તો વર્ષો પહેલા શરુ કરેલું ને? યોગેશ્વર કૃષિ યોજના પ્રગટાવી ખેડૂતોના પૈસામાંથી ભાગ પડાવે રાખ્યા. અબ??સુધારો દેવી પુજકોને. સારું છે ને? અમીરોની અંધશ્રદ્ધા દૂર કરવા શું કરીએ છીએ? મૂળ વાત મારી વાતોના ઉત્તર હોતા નથી પછી તર્કનો આશરો લેવાય છે. અને કડવી હકીકતો દેખાય છે જે કબૂલ કરવા મન માનતું નથી. વ્યક્તિ વિશેષ જે પૂજ્ય ભાવ કેળવ્યો હોય તેમાં બાધા આવી જાય તો મન કેમ માને? લગભગ તમામ કહેવાતા સંતોની એક પેટર્ન રહી છે. પહેલા ભક્તોને ભોળવી થોડું નામ દામ કમાઓ, પછી કોઈ કહેવાતી પછાત હલકી કોમને સુધારવા માટે આવું કશું કરો. જેથી આત્મ સંતોષ મળે કે સાવ બેસી રહ્યા નથી. ધનિક સવર્ણ ઉચ્ચ કોમોને લાગે કે જુઓ બાપુ હલકી કોમો માટે કેટલું સારું કામ કરી રહ્યા છે, ગ્રેટ છે ને?

      Like

      1. સાચું છે, મુદ્દો જુદે રસ્તે જાય છે. પણ સમાજમાં પણ આવું નિશાન (જાણી જોઈને)ચૂકી જવાનું જ બનતું હોય છે. એક વાર પ્રસિદ્ધિ મળી ગઈ પછી લાખો લોકોને ભેગાં કરીને ધર્મને નામે જોક્સનો ડાયરો બનાવી દેવામાં આવે છે. શ્રોતાઓને ધર્મના મંડપ નીચે બેસીને જોક્સ સાંભળવી ગમે છે.

        કથાવાર્તાઓમાં પણ પૈસાદારોને સોફા ઉપર બેસાડાય છે. ટીવી ઉપર એમનાં પૈસો છલકતાં મોઢાં વારંવાર દેખાડાય છે, એમનો ખરચ વસુલ થાય છે.

        પણ આ બધું ભ્રષ્ટાચારના ભોરીંગનો એક ભાગ છે. ખેડુતોની જમીનો માટે ખેડુતોએ જેમ જોર બતાવવું શરૂ કર્યું છે તેમ ગરીબોએ પણ જોર કરવું જ પડશે. હવે એ દિવસો બહુ દૂર નથી કે ગરીબો વ્યાજ સાથે અન્યાયો વસુલ કરે.

        Like

      2. દેવીપુજક સમાજ સુધરી પણ જશે ,.. પર હમ નહિં સુધરને વાલે ( કહેવાતા સંતો અને રાજકારણીઓ એ શરમ રાખ્યા વિના બંધ બેસતી પાઘડી પહેરી જ લેવી… ) 😛

        Like

  16. મારા માથાના વાળ પણ કાળા જ છે અને અહીં ઉપસ્થિત બધાના વાળ કાળા છે શું કરશો?
    perfact replay

    Like

  17. ઊંચ-નીચના ભેદભાવ બધી જ જગ્યાએ હોય છે. શ્રદ્ધા-અંધશ્રદ્ધા અને અમીર-ગરીબનો મુદ્દો અહીં ચર્ચાયો છે. દરેક જગ્યાએ દરેક બાબત માટૅ આવા ભેદભાવ જોવા મળે છે.

    ઈન્ટરનેટ પર ફરતા અગ્રેજી લખાણનું કોઈએ કરેલું ગુજરાતી ભાષાંતર એક પ્રતિષ્ઠિત કવિ/લેખકે જાણતા સામયિકમાં પોતાના નામે છપાવ્યું તે વાત મેં મારા બ્લૉગ પર કરી હતી ત્યારે મને ખ્યાલ આવી ગયો હતો કે સિનિયર લેખક/કવિનું લોહી જુનિયર લેખક/કવિ કરતાં વધારે ઘટ્ટ હોય છે.

    Like

  18. શ્રી.ભુપેન્દ્રસિંહજી,
    કદાચ આપને માઠું લાગ્યું ! મારો ધ્યેય એ નથી (કોઈને માઠું લગાવવાનો) માત્ર સમજદાર મિત્રો સાથે એકમેવની સમજણ વહેંચવાનો રહે છે. છતાં Sorry ! (જો કે હજાર Sorry કહ્યા પછીએ કહેવા જેવું તો કહીશ જ 🙂 )

    આપનો મુળ મુદ્દો ચાતર્યો નથી, (જો કે શ્રી.જુગલકીશોરભાઈએ પણ ટકોર કરી છે તેથી મારે મારો પ્રતિભાવ દશ વખત વાંચવો પડ્યો ! એવું બને કે હું મુદ્દો ચાતરી ગયો હોઉં પણ મને જ ધ્યાનમાં ન રહ્યું હોય, એવું બને તો ધ્યાન જરૂર દોરવું) આપનો મુળ મુદ્દો જ એ છે કે ’આ ગરીબોને સુધારવા જ પ્રયત્ન શા માટે ?’ રાઈટ ? અને મારો વિરોધ પણ એ જ છે કે ’કોઈ ગરીબ કે પછાત કે અજ્ઞાનીને આગળ લાવવા, સુધારવા પ્રયત્ન કરે તો તેનો વિરોધ (એ કોઈપણ હોય) શા માટે ? આપને લાગે કે આપની વાતના ઉત્તર ના હોય પછી તર્કનો આશરો લેવાય, કદાચ આ વાત મને નથી સમજાણી. આપણે એક તરફ તો તર્કબદ્ધતા દાખવવાનું કહીએ છીએ અને એક તરફ તર્કનો વિરોધ કરીએ છીએ. તો તો પછી બધા જ ધર્મપુસ્તકોમાં અતાર્કિક વાતો ભરી પડી છે તેને પણ બેઠેબેઠી માની લેવી જોઈએ ને (કેટલાક લોકો પણ આ જ તો કહે છે !) કોઈક અબૂધે કરેલું અર્થઘટન કે શુદ્રોને, પછાતોને, સ્ત્રીઓને શાસ્ત્રજ્ઞાન મેળવવાનો અધિકાર નથી અને આપણી વાત કે દેવીપૂજકોને શા માટે કથા સંભળાવવી જોઈએ તેમાં શું ફર્ક છે ?! (આપણો કહેવાનો અર્થ જુદો છે…એમ દલિલ થઈ શકે, પરંતુ તો પછી ત્યારે પેલા લોકોનો કહેવાનો અર્થ પણ અલગ નહીં હોય તેની શી ખાત્રી ! સરવાળે શબ્દ બ્રહ્મ છે !! ક્યારેક ભ્રમ છે !!)

    હું માત્ર મારા મનમાં ઉત્પન્ન થતા તર્ક (તરંગો) નથી આપતો, વાસ્તવિકતા જણાવું છું કે (અહીં આપનો જ વિષય મોરારીબાપુ છે તેથી તેને જ લીધા છે) મોરારીબાપુની હાલમાં ૭૦૫મી કથા ચાલે છે. આ ૭૦૫ કથાઓમાંથી ખાસ આ ગરીબોને ’સુધારવા’ અર્થે થયેલી કથાઓ કેટલી ? કદાચ ૧૦-૧૫ હશે જ, અન્ય કથાઓ તો ’આપણા જેવા મોટા’ લોકો માટે જ થઈ છે ! તો એમ કેમ કહી શકાય કે માત્ર “આ” ગરીબોને જ સુધારવા કેમ પ્રયત્ન થાય છે ?! મારી જાણમાં છે ત્યાં સુધી એક વિસ્તારમાં સંડાસો બાંધવા, સંડાસની ઉપયોગીતાનો પ્રચાર કરવા, માટે કથા કરવાનું આયોજન થયેલું !!! બોલો સંડાસ બાંધવા અને સંડાસ વાપરતા કરી આરોગ્ય પ્રત્યે જાગૃતિ આણવાનું કામ કથા દ્વારા થઈ શકે તેવા વિચારના, ખોટેખોટાય, વખાણ તો કરવા પડે ને ! હવે સંડાસની મહત્તા સ્થાપન કરતી કથા તો જ્યાં ડબલાંપાર્ટી જીંદાબાદ હોય ત્યાં જ કરવી પડે ને ! જ્યાં એક એક રૂમમાં બે-બે સંડાસ હોય તેવા બંગલાઓમાં તો આ કથાનો શું ફાયદો !! અને આટઆટલા વર્ષોથી અન્ય કોઈએ એ કામ નહીં કર્યું હોય ત્યારે કોઈ કથાકારને એ તક મળી હશે ને ? જો અન્ય કોઈ એ કામ કરી નાંખે તો ક્યાં કોઈ વિરોધ કરવા આવવાનું છે ! આપના લેખનું કેન્દ્રબિંદૂ જ એ છે કે ’ગરીબની વહુ જ ભાભી કેમ ?’ તો એક ગરીબની વહુ ભાભી બની સામે સાતસો ચાર શ્રીમંતની વહુઓને ભાભી બનાવીનાં દૃષ્ટાંત ધ્યાને લેવા રહ્યા કે નહીં !!! (જે ધ્યાને ન લેતા આપે મોટા લોકો ન સુધરે તો આ ગરીબ લોકોએ શા માટે સુધરવું જોઈએ એ અર્થનો જે તર્ક આપ્યો તે સામે મારો વિરોધ છે.) ખેર આપે ’અંધશ્રદ્ધાળુ દેવીપૂજકોને સુધારવા માટે જે પણ પ્રયત્નો થાય તેની સામે શું વાંધો હોઈ શકે?’ એટલું સ્વિકારી લેખમાં લઈ લીધું તે બદલ આભાર.

    આપ ધર્મને, બાપુઓને, xxxને, yyyને જે સડો પેઠી ગયો હોય તે વિશે આપના તર્કબદ્ધ વિચારો રજુ કરો છો તે સામે વિરોધ ન જ હોય. પરંતુ જ્યાં આપનો તર્ક ભટકી જાય ત્યાં સામેનો પક્ષ મુકવાનો અમારો પ્રયાસ તો રહે ને ? બાકી આવું બધું વિરોધ વિરોધનું તો ઘણે લખાતું હોય, પણ તે સાવ તર્કરહિત જ હોય પછી ત્યાં તર્ક કરવાનોએ શું હોય ? ઈગ્નોર કરો ! ઈગ્નોર કરો !! એમ બોલીને ચાલતું જ થવાનું રહે 🙂 મારો નમ્ર મત રહ્યો છે કે દરેક વાતને, ઘટનાને તેનાં મુળરુપમાં, સમગ્રતયા અને વ્યવહારૂ દૃષ્ટિએ જોવી. કોઈ એક ચિત્રનો દશમો કે હજારમો કટકો જોવાથી સંપૂર્ણ ચિત્રની વાસ્તવિકતા ન સમજાય.

    કશો અવિનય થયો હોય તો ક્ષમા કરશો પરંતુ “ગમે તેવું” કે માત્ર “ગમે તેવું” લખવું એ કુરુક્ષેત્ર પર શક્ય નથી ! છતાં જો મિત્રોનો આગ્રહ જ હશે તો હવે પછી “સૌને ગમે તેવું” લખીશ. OK ? આભાર.

    Like

    1. માઠું લગાડવાની વાત ફરી કરી છે તો ?? ૭૦૫ કથાઓમાંથી ૧૦-૧૫ કથાઓ ગરીબોને સુધારવા કરી હોય તે ખરી કથા, બાકીની કથાઓ બીજનેશ, રૂપિયા કમાવા કરેલી છે ભાઈ. બાપુએ પોતેજ કબૂલ કરેલું છે કે રોટલા માટે ત્રણ માણસો સામે કથા શરુ કરેલી આજે ત્રણ લાખ શ્રોતા થઇ ગયા છે.સંડાસ બાંધવા માટે કથા કર્યા વગર બે ચાર સંડાસ બાંધી આપ્યા હોય તે આગળ પડે. પેલા ઇન્ફોસીસ વાળા સુધા મુર્થીએ કોઈ કથા કર્યા વગર સંડાસ બાંધ્યા છે,સુલભ શૌચાલયો એનો કોન્સેપ્ટ છે. જોકે બેચાર મુરખો એવું પણ બોલેલા કે આ સુધા પેશાબમાંથી પૈસા બનાવે છે. બાપુ દેવીપૂજકો માટે સ્કૂલ બાંધીને એજ્યુકેશન વધે તેવું કરે તો લેખે લાગશે. મોટા લોકો માટે કથા બહેલાવીને, કલાવીને રૂપિયા કમાવાનો ધંધો છે, અને ગરીબો માટેની કથાઓ સ્ટંટ છે.
      આ ગમે તેવું,સૌને ગમે તેવું લખીશ, ક્યાંથી શીખ્યા?

      Like

      1. મારો ચેલો ય મદદમાં આવતો નથી. અલ્યા શકીલ કોઈ દિવસ તો ગુરુજીનો પક્ષ લે યાર? ખાલી ખાલી ગુરુજી ગુરુજી કહી ચણાના ઝાડ પર ચડાવે છે.

        Like

        1. ગુરુજી,
          પહેલાં કહેલું તેમ હું તો ’સસલા’ જેવો ગભરુ માણસ !
          આ સિંહ-વાઘની હડફેટે ચઢું ને ક્યાંક મારો કોળીયો થઈ જાય તો 🙂
          મજાક કરું છું. આપની વાત સાથે સહમત છું. જે પછાત છે તેને સુધારવા કોઈ
          પ્રયત્ન કરે તે સરાહનીય છે પણ આપે કહ્યું તેમ કંઈક નક્કર પ્રયત્ન કરે તો
          એ લોકોનું સાચે જ ભલું થાય. પણ સુધારવાના નામે સ્વાર્થ હોય તો…. છતાએ
          થોડુંક સારું કામ હોય તેના, અશોક’જી’ કહે છે એમ, ભલેને ઈ થોડાક
          ખોટેખોટાય વખાણ કરતો !!
          અને એ ભલે કેતો કે ’હવે મિત્રોને ગમે તેવું લખીશ’
          પણ હું ઓળખું ને ! ઈ મિત્રો પાસે જ આડો ફાટે છે !! (બીજે બધેય સીધો હાલે છે“:-)” )
          બાકી “કુરુક્ષેત્ર” તલવાર+બખ્તર કટાઈ ગયા હોય એમનું તો કામ જ નહી !
          અહી કવિતાઓ વાર્તાઓ નહી સમાજ સુધારવા “ધોકા” વાળી થાય !
          બધા મિત્રો ના પ્રતિભાવ સ_રસ રહ્યા. નિંદરુ ઉડાડવા આપનું કાર્ય “અજોડ” છે !
          ગુરુજી હવે મારી ધોલાઈ થાય એ પહેલા બંધ થાઉ.

          Like

          1. દૂધ દહીં બેમાં પગ રાખે છે. પાછું જુનાગઢ જવાનું ને? મિત્રો પાસે જ આડો ફાટે છે, બીજે આડા ફાટવા ના મળે એટલે મિત્રો પાસે ફાટે. આપણે ચલાવી લેવાનું. મૂળ વાત એમની કોમેન્ટસની તો હું રાહ જોતો હોઉં છું. પણ ઘણીવાર છટકી જાય છે.

            Like

  19. ભુપેંદ્રભાઈ, બહુ વખતે તમારો લેખ વાચ્યો. અમે હવે ક્લિવલેંડ, ઓહાયો વસી ગયા છીએ.

    લેખ વાચીને ગુસ્સો, હતાશા અને એક નવી આશાના અનુભવો થયા. મે નક્કી કર્યુ છે કે ભારતની નવી પેઢીને ભારતીય સંસ્કૃતીના મુળ મુલ્યોથી અવગત કરે એવી કોઈ વ્યવસ્થા ઉભી કરવી. નવી પેઢી જ એક આશા છે. એ માટે હવે હુ મારુ જીવન સમર્પીત કરી દેવા માગુ છુ.

    Like

    1. અરે! આપ લોગન ઓહાયો વસી ગયા? ભાઈ ગુસ્સો આવે એવું જ દેશમાં ચાલી રહ્યું છે. ભારતીય સંસ્કૃતિના મૂળ મૂલ્યો બચ્યા નથી. ધર્મની વ્યાખ્યા પણ બદલાઈ ગઈ છે. આભાર ભાઈ.

      Like

  20. ભૂપેન્દ્રસિંહજી,

    આપના આ લેખમાં ઘણા બધા અસંલગ્ન મુદ્દાઓ છે. તેથી જ લેખનું હાર્દ શું છે તે આપે વારેવારે કહેવું પડે છે.

    શ્રદ્ધા કે અંધશ્રદ્ધા કે અમીરોની શ્રદ્ધા અને ગરીબોની શ્રદ્ધા વિશે હોય તો મારા બ્લોગમાં આ વિશેના લેખના અભિપ્રાયોમાં(લેખમાં નહીં) ઘણું બધું આવી જાય છે.

    હવે ગરીબની અંધશ્રદ્ધા વિશે વાત કરવી હોય તો શ્રી અશોકભાઇએ ગરીબની જે વ્યાખ્યા લખી છે તે પ્રમાણે વિચારીએ તો ગરીબ એટલે અજ્ઞાત કે અજાગ્રત તો તે પ્રમાણે અમીર એટલે જાણકાર અને જાગ્રત. આ વિશે આપણે વારંવાર કહીએ છીએ કે સૂતેલાને-અભણને જગાડી શકાય. જાગતાને કે જાગ્રતને કેવી રીતે જગાડી શકાય.

    મારાઆ ખ્યાલ મુજબ તો કોઇ રોગને સમૂળગો દૂર કરવો હોય તો તેને મૂળમાંથી દૂર કરવો જોઇએ એટલે કે પાયામાંથી તો અને તે માટે નીચેથી તેની શરૂઆત કરવી યોગ્ય છે. એટલે કે સૂતેલા-અજ્ઞાનને જગાડવો યોગ્ય.

    અને પ્રશ્ન એ હોય કે ગરીબોની અંધશ્રદ્ધા માટે જ કથાઓ કેમ? તો કોઇના પણ સારા કાર્યને વખોડવાને બદલે વખાણો. એ એટલું તો કરે છે ને. તો બીજું આપણે શરૂ કરીએ. આપ એકલા જ નહીં સમયસમયે ઘણા લોકો ધોકો ઉગામે છે. ગોવિંદભાઇ, અશોકભાઇ, યશવંતભાઇ તેમની વાર્તાઓ દ્વારા, દિપકભાઇ એમ ઘણા લોકો છે. મારા ધોકો ધીમો તો ધીમો ક્યારેક હું પણ ઉગામું છું જ. એવા ઘણા લોકો છે હા, કદાચ આપનો ધોકો કોઇકવાર તલવારની જેમ વીંઝાય છે. આપની સાથે આવા ઘણા લોકો છે. થોડો થોડો પ્રયાસ બધા કરીશું અમીરોની અંધશ્રદ્ધા માટે. (કથાઓ સિવાય કંઇક અલગ વિચારી શકાય ને)

    ચાલો શરૂઆત કરીએ ધોનીના બકરાના બલિદાનના વિરોધમાં જ. દેશની કરોડો ક્રિકેટપ્રેમી જનતા સાથ આપશે? ક્રિકેટપ્રેમી જનતાને ધોનીના ૨૦-૨૦ વિશ્વકપ કે વન-ડે વિશ્વકપ જીતવામાં રસ છે તે માટે ધોની શું કરે છે તેમાં નહીં. સચીનની ૧૦૦મી શતક માટે લોકો પ્રાર્થાનાઓ કરે છે. એ માટે સચીન સત્યા સાંઇબાબાના ચમત્કારોમાં શ્રદ્ધા કે અંધશ્રદ્ધા શું રાખે તેમાં રસ નથી. હવે સત્ય સાંઇબાબા તો રહ્યા નહીં સચીનનો આધાર છીનવાઇ ગયો છે તો ૧૦૦મી શતકમાં કેટલી વાર લાગે છે? આઠ મહિનાથી ઝઝૂમે છે.( જો કે ક્રિકેટ રમત છે ૧૦૦ રન કરવા પણ કંઇ રમત નથી)

    આ ઉપરાંત સંપ્રદાયો કરતાં પણ સેલિબ્રેટીઓની શ્રદ્ધા કે અંધશ્રદ્ધાથી મિડિયાને મસાલો અને માલ મળતા હોય તો તેને દૂર કરવા માટે કેટલી કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડે. આસાન કામ તો છે નહીં.

    આપના લેખ કરતાં મારો પ્રતિભાવ લાંબો થઇ જશે એટલે અહીં જ પૂર્ણવિરામ કરું છું. બાકી ઘણા મુદ્દાઓ છે ચર્ચા માટે.

    Like

    1. લેખ કરતા પ્રતિભાવ લાંબો થઇ જાય તે લેખની સફળતા હું માનું છું. મૂળ વાત એ છે કે અભણને સમજાવાય, ભણેલા અભણને શું કહેવું?? આભાર.

      Like

      1. દિપકભાઇની વાત સાચી છે ખરી પ્રોસેસ આપણી પોતાની માન્યતાને પડકારવાની છે, માન્યતાઓ પૂર્વગ્રહ બને તે પહેલાં. અને તે પણ આપણે જ લખતા હોઇએ કે ભારતના લોકો પૂર્વગ્રહોથી ભરેલા છીએ ત્યારે તો ખાસ આપણી માન્યાતાઓ કે અભિપ્રાયો પૂર્વગ્રહ ના બનવા જોઇએ.

        આપનો આ લેખ પણ કોઇક પૂર્વગ્રહથી લખાયો છે. પહેલાં એમ હતું કે અસંલગ્ન મુદ્દાઓ છે પણ ના આ લેખનું શિર્ષક અસંલગ્ન છે. મૂળ વાત એ છે કે આપે ફેસબુક ઉપર એક વિડિયો ક્લિપ મૂકેલ. અને ઉતાવળે આપે તેનું હેડિંગ એવું રાખેલ કે બાપુએ મંચ પર ડાકલા વગાડાવ્યા-અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપ્યું. પરંતુ તે એક કથા-ખાસ દેવીપૂજકની અંધશ્રદ્ધાને દૂર કરવા આયોજેલી તેનો વિડિયો હતો. તેમાં ઘણા લોકોએ ઉતાવળે અભિપ્રાયો પણ આપી દીધા. પરંતુ કોઇકે ધ્યાન દોર્યું. તો આપે આ લેખ લખી દીધો કે ગરીબોને જ કેમ સુધારવા? અમીરોની અંધશ્રદ્ધા માટે કોઇ કથા કેમ નહીં?

        હવે એમાં જે પણ પ્રતિભાવમાં એમના સારા કાર્યો વિશે કોઇ જાણ કરે તો તમે ફટાફટ જવાબ હાજર કરી દીધો સંડાસ બાંધવા કથાની શી જરૂર? એકાદ હોસ્પિટલ બાંધીને શું મહાન કાર્ય કર્યું? હજાર હાથે લઇને થોડું આપ્યું એમાં શું? સ્કૂલો કેમ ના બાંધી? આવા જવાબ આપીને આપના લેખનું હાર્દ ગરીબોને કેમ સુધારવા એવું રહેતું નથી એમાં સાફ પૂવગ્રહ દેખાઇ આવે છે.

        હું કોઇ સંપ્રદાય કે સંત કે સાધુની તરફેણ નથી કરતી. ધર્મને વ્યવસાય બનાવી દેવાયો છે એ વાત સાથે ૧૦૦% સહમત છું. કોઇને મંદિરો બનાવી રેકોર્ડ બનાવવા છે કોઇને કથાઓના રેકોર્ડ બનાવવા છે. દરેક પોતાના વ્યવસાયને વિકસાવવામાં જ રાચેલા છે. એ વિષયના વિરોધમાં સંપૂર્ણ સાથ છે. પણ માત્ર કોઇને પૂર્વગ્રહથી જ વખોડવાનો પ્રયાસ યોગ્ય ના કહેવાય. આપણો વિરોધ એમના ગેરમાર્ગે દોરતાં કાર્ય તરફ હોવો જોઇએ.

        અને ઉતાવળે લખાયેલા લેખમાં આપે દારૂ કોણ નથી પીતું? ભૂત ભગાડવાનું નુકશાન માત્ર એક દારૂની બોટલ અને એક કુકડું. એટલે કે દારૂ અને કૂકડાના બલિદાનને સમર્થન છે આપનું એવું કહેવાય. હવે આ ખોટો મેસેજ કોઇના અચેતન મનમાં શું અસર કરે? એક સેલિબ્રેટિના સોનાના મુગટ કે સિંહાસનથી કોઇને નુકશાન નહીં પણ લક્ષ્મી ચંચળ છે તે વાતને સાચી ઠેરવે છે. કોઇના શરીર કે જીવને નુકશાન નથી કરતી.

        એક ગરીબ દારૂ પીને તેના શરીર અને કુટુંબને નુકશાન કરે છે. તેવી વાતને સમર્થન આપીને માત્ર અમીરોની અંધશ્રદ્ધા માટે કથા કેમ નહી? આવું લખાણ કોઇને ગેરમાર્ગે દોરનારું બની શકે. આપણે માત્ર લખવા ખાતર-કે મજા ખાતર લખતાં હોઇએ એવું ના બનવું જોઇએ આપણે આપણા લખાણથી સમાજમાં થોડું પરિવર્તન લાવી શકીએ તો સારું પણ તે પહેલાં આપણે આપણી માન્યતાઓ કે પૂર્વગ્રહોમાંથી બહાર આવીએ તો પણ ઘણું છે.

        મને લાગ્યું તેવું લખ્યું છે ‘માત્ર કોઇને ગમે’ તે માટે કે ‘ગમે તેવું’ નથી લખ્યું. મિત્રભાવે લખ્યું છે એટલે માઠું લાગે તો ચોક્કસ લગાડજો.(પહેલાંથી જ કહી દઉં sorry નહિં કહું) આપે ચર્ચા કે પ્રતિભાવ તમારા લેખ કરતાં મોટો હોય તો સફળતા માની તેથી ફરી વાર આટલું લાંબું લખ્યું.

        Like

        1. સાચી વાત છે મીતાબેનની. મને પણ આ લેખમાં ઘણી બધી ક્ષતિ લાગેલી એટલે કોઈ પ્રતિભાવ આપવાનું ટાળેલું. પણ ૩ દિવસ પછી મોટી ચર્ચા અને અશોકભાઈના બે લાંબા પણ યોગ્ય પ્રતિભાવને યોગ્ય રીતે મૂલ્યાંકન નથી મળ્યું જાણી ટુકમાં પ્રતિભાવ આપ્યો કે અંધશ્રદ્ધાને ગરીબ કે તવંગર એવા કશા ભેદ નથી.
          તમે લેખની એ ક્ષતિઓ તરફ ધ્યાન દોર્યું એટલે તમારી અને અશોકભાઈની વાતને સમર્થન આપું છું.
          બહુ ઉતાવળે સમગ્રતયા મૂલ્યાંકન યોગ્ય રીતે નથી થઈ શકાતું. અને અશોકભાઈએ કહ્યું તેમ છ અંધ અને હાથી વાળી વાત બનતી હોય છે.

          Like

          1. સાચી વાત છે અંધશ્રદ્ધાને ગરીબ કે તવંગર એવા ભેદ ના હોય, અંધશ્રદ્ધા તો ફક્ત અંધશ્રદ્ધા જ હોય છે. પણ ગરીબ લોકો જે અંધશ્રદ્ધામાં રાચતા હોય તેને આપણે મૂર્ખાઈ અને ખરાબ ગણીને હીન માનીએ છીએ, અમીર માટે આપણા માપદંડ જુદા હોય છે. અમીરની અંધશ્રદ્ધામાંથી પ્રેરણા લેતા હોઈએ છીએ. કોઈ ગરીબે એની પુત્રવધૂના લગ્ન પહેલા વૃક્ષ સાથે કરાવ્યા હોત તો લોકો કેટલીય ટીકા કરતા, અને છાપાઓમાં એને ગાંડો ગણત. પણ બચ્ચન કરશે તો કોઈ ટીકા નહિ કરે. મને પણ ખબર છે કે અંધશ્રદ્ધા તો અંધશ્રદ્ધા જ છે. એને વળી ગરીબ શું કે અમીર શું? આપણા મૂલ્યો બેવડા છે તે મારો પોઈન્ટ છે. મોરારીબાપુના મૂલ્યો બેવડા છે, સંતો મહંતોના મૂલ્યો બેવડા છે. અશોકભાઈ હમેશા સમતોલ પ્રતિભાવ આપતા હોય છે. તે કળા બીજા મિત્રોએ પણ શીખવા જેવી છે. ઘણી વાર તે મને સળી કરતા હોય છે અને હું તેમને. વહુ તો વહુ જ છે, ગરીબની હોય કે અમીરની. ફરક આપણા નજરિયામાં હોય છે. આપણી દ્રષ્ટિમાં હોય છે.

            Like

        2. બાપુઓ કથાકારો અંધશ્રદ્ધા ફેલાવવાના કારખાના છે. તે હકીકત છે. મોરારીબાપુની હું વર્ષોથી આલોચના કરું છું. કોઈ નવી વાત નથી. આપે ફક્ત તે વીડીઓ ક્લીપ જોઈ હોત તો આપ પણ એવું જ માની લેત જે મેં માનેલું. ધનની બાબતમાં આ મહાશયો હજાર હાથે લઈને એકાદ હાથે પાછું વાલે તેમાં આપણે અહોભાવમાં ગદગદ થઇ જઈએ છીએ, તેમ અંધશ્રદ્ધાની બાબતમાં એકાદ ઓછી કરવાની વાત કરીને બીજી હજાર ઘુસડશે તે નહિ દેખાય.ગદગદ થઇ જવાના જેમ આપ બધા થઇ જાઓ છો. સુધારાની બાબતમાં પણ એવું જ સમજવું. બીડી છોડાવશે, દારુ છોડાવશે, સારી વાત છે. ગદગદિત થઇ જાઓ. પણ એવી વાતો મનમાં ઘુસાડશે કે જેનાથી આખા દેશની માનસિકતા સડી જશે તે નહિ દેખાય. દારુ છોડાવશે, પણ સ્ત્રીની મુખ જોવું ખરાબ છે, સ્ત્રી નરકની દ્વાર છે, બ્રહ્મચર્ય શીખવશે જેનાથી આખો દેશ ત્રસ્ત થઇ જશે, સડેલી માનસિકતા ધરાવતો થઇ જશે તે નહિ દેખાય. આજ સુધી આમજ થતું આવ્યું છે. બીડી છોડાવશે નાના બાળકોનું જાતીય શોષણ કરશે તે નહિ દેખાય. નાના બાળક સાથે સેક્સ કરવો એના કરતા તો દારુ પીનારો સારો. બીડી પીનારો સારો. એક ખાલી ફેફસાં બગાડે પેલો તો એક આખી જીંદગી અને પેઢીઓ બગાડશે કે નહિ??હું કોઈ બીડી સિગરેટ કે દારુની ફેવર કરતો નથી. ચોરે અને ચૌટે જાહેર રસ્તાઓ વચ્ચે હનુમાનજી દેરીઓ રોજ વધી રહી છે, લોકો વ્યર્થ ડબે ડબા તેલના ઠાલવે જાય છે તે મોરારીબાપુની કથાઓનું આડકતરું પરિણામ છે. પણ નહિ સમજાય. વર્ષા પાઠકનો લેખ હતો કે યુવાનોમાં મંદિરો અને યાત્રા સ્થળો પર જવાનું ચલન વધ્યું છે, આ બીમારી છે. પ્રજા કમજોર થતી જાય તેમ મંદિરોમાં વધુ જતી થઇ જતી હોય છે. પ્રજાને નિર્માલ્ય બનાવી રહ્યા છે આ બાવાઓ, સંતો, કથાકારો. યુવાનો માનસિક રીતે કમજોર બની રહ્યા છે. સર્વાઈવલ માટે ફિટનેસ કેળવવાને બદલે લોકો ભગવાન પર આધાર રાખતા થઇ ગયા હોય તે લોકો ઓર કમજોર બનવાના. કોઈએ મને સોરી કહેવાની જરૂર છે જ નહિ. આપના પ્રતિભાવો અને વિચારો આવકાર્ય જ છે. જેટલું ડીસ્કશન થાય તેટલું સારું જ છે. નવું નવું સુજે એમાં શું ખોટું છે? અને બીજું મારે જે કહેવું હતું તે હીરલના પ્રતિભાવ નીચે લખ્યું છે અહીં ફરી નથી લખતો. આભાર.

          Like

          1. પ્રતિભાવ ધ્યાનથી વાંચો. અહોભાવનો તો સવાલ જ નથી. સ્પષ્ટ લખ્યું છે કે તેમના ગેરમાર્ગે દોરતાં અને અંધશ્રદ્ધા જગાડતાં કાર્યોનો વિરોધ કરવો. હિરલબેનને સમજાઇ ગયું. બધાજ સંપ્રદાયો વ્યવસાય બની ગયા છે વારેવારે તે લખાય જ છે. એવું તો ઘણું બધું લખાય જ છે. એટલે આપ બધા ગદગદ થઇ જાઓ છો એ વાક્ય યોગ્ય નથી. તેનો અર્થ તમે સાચા અર્થમાં ાશોકભાઇ કે મારા જેવાને ઓળખી જ નથી શક્યા એવું લાગે છે.

            Like

            1. સાચી જ વાત છે ને કે સંડાસ બાંધવા કથાની શું જરૂર હતી? દીકરીને સાદાઈથી પરણાવીને ચાર કરોડા બચ્યા હોય તેમાંથી કેટલા બધા સંડાસ બનાવી શક્યા હોત? મૂળ વાત એવી હોય છે કે રામાયણથી આપણે એટલા બધા ગ્રસિત હોઈએ છીએ અને એના કહેનારા એટલા બધા પૂજ્ય બની ચુક્યા હોય છે કે એમના સામે જરા જેટલી ટકોર પણ સહન કરી શકાતી નથી, એટલે હવે કશું કહેવા જેવું બાકી નથી. મેં વીડીઓ ક્લીપ મૂકી ઇટ વોઝ એન એક્સીડેન્ટ, મારી તો લખવાની શરૂઆત મોરારીબાપુની આલોચનાથી જ શરુ થઇ છે. અને તે પણ બેવર્ષ પહેલા. આપ ગદગદિત ના થયા હોવ તો અને ના થતા હોવ તો સારી વાત છે. આભાર.

              Liked by 1 person

              1. ચાલો તમે અશોકભાઇ કે મારા તટસ્થાતાથી આપેલા પ્રતિભાવને સમજી ના શકાય. એટલે એકની એક વાત વારંવાર કહીને સત્ય સાબિત કરવાની કોશિશ કરો છો. અમે ગ્રસિત થઇ ગયા છીએ કે જરા જેટલી ટકોર પણ ના સહન કરી શકીએ એવામાં અમારી ગણતરી બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ચર્ચાનો અર્થ નથી રહેતો. વધુ કમેન્ટથી અમારું ડોપામાઇન ઉંચે નથી આવતું કે ના ક્લિક વધવાથી.

                એટલે છેલ્લે એક વાક્યથી અંત લાવીએ જે એક ફિલ્મનો ડાયલોગ છે.

                નફરત સોચ સમજ કે કરની ચાહિએ. વરના હમ ભી વો હી બન જાતે હે જિન્હેં હમ નફરત કરતે હે.

                અહીં નફરતની જગ્યાએ આલોચના અર્થ સમજવો.

                આ માત્ર તમારા માટે જ નહીં આપણા બધા માટે છે એમ સમજવું.

                (અને હા બેવડા મૂલ્યાંકન વિશે હું આપના બેવડા ધોરણો વિશે કહી શકું તેમ છું પણ એ ફરી કોઇકવાર.)

                Like

                1. હવે અણસમજુ બની ગયો છું. જનરલ સેન્સમાં કરેલી વાત આપ આપના ઉપર લઇ લો છો, અરે આખું ગુજરાત બાપુથી ગ્રસિત છે ગદગદિત છે, ગુજરાતી સાહિત્યના લગભગ તમામ બુદ્ધિશાળી સાહિત્યકારો, જર્નાલીઝમ જગતના તમામ જર્નાલીસ્ટ ગદગદિત છે. ધન્યવાદ.

                  Like

                  1. પ્રિય બાપુ (ભૂ.),

                    તમારા વાક્ય “આખું ગુજરાત બાપુથી ગ્રસિત છે”માં જોશો તો ખ્યાલ આવી જશે કે ‘આખું’ શબ્દ કેટલી મોટી હાનિ કરી શકે ?! ક્યારેક ઉતાવળ, ક્યારેક આવેગ, ક્યારેક નિર્દોષ ભૂલથી લખાયેલા શબ્દો/વાક્યો પણ વાચકને, ખાસ કરીને ઝીણું કાંતનારા વાચકો કે જેઓ તમારી વાતમાં ભાવપૂર્વક, વિચારપૂર્વક ભાગ લેતાં હોય – તેમને આવા શબ્દોથી લાગે કે તમે આખા ગુજરાતને ગ્રસિત ગણી લો છો. બાકી વાતમાં કશો માલ ન હોય અને આપણે સૌ કોઈ જુદા જ મુદ્દામાં ગ્રસિત થઈ જઈએ એવું ન બને ?

                    Like

                    1. જુગલભાઈ ઘણી વાતો આપણે એવરેજ શબ્દ વાપર્યા વગર લખતા જ હોઈએ છીએ. હવે કોઈ કહે ગુજરાતી બીકણ છે, તો બધા બીકણ ના હોય તે સ્વાભાવિક છે. પણ એવરેજ ગુજરાતી બીકણ પણ એટલું જ સાચું છે. ચંદ્રકાંત બક્ષી મોરારીબાપુની સખત આલોચના કરતા, પણ એવરેજ હાલના તમામ સાહિત્યકારો બાપુથી ગ્રસિત છે જ, તેમ પત્રકારો પણ. હવે તો ભાટાઈની હદ વટાવી ચુક્યા છે.

                      Like

                    2. જુગલભાઈ અસ્મિતા પર્વ હોય કે બીજું કોઈ પર્વ હશે, બાપુ આવા પર્વો યોજીને સાહિત્યકારો અને પત્રકારોને ઇમોશનલી પોતાના કરી લેવામાં પાવરધા છે, આમાં એક વક્તા દિવંગત બક્ષીબાબુના લૂગડાં ઉતારતા હતા, ત્યારે બાપુ મનોમન હસતા હશે. બક્ષીબાબુ ગુજરાતી સાહિત્યકારોમાં સિંહ જેવા હતા.

                      Like

          2. Agree with:
            વર્ષા પાઠકનો લેખ હતો કે યુવાનોમાં મંદિરો અને યાત્રા સ્થળો પર જવાનું ચલન વધ્યું છે, આ બીમારી છે. પ્રજા કમજોર થતી જાય તેમ મંદિરોમાં વધુ જતી થઇ જતી હોય છે. પ્રજાને નિર્માલ્ય બનાવી રહ્યા છે આ બાવાઓ, સંતો, કથાકારો. યુવાનો માનસિક રીતે કમજોર બની રહ્યા છે. સર્વાઈવલ માટે ફિટનેસ કેળવવાને બદલે લોકો ભગવાન પર આધાર રાખતા થઇ ગયા હોય તે લોકો ઓર કમજોર બનવાના.

            Like

  21. એક સાવ સાદી વાત મૂકું ?

    લાંબું લખનારાં આપણામાંનાં બહુ ઓછા જે કાંઈ લખે છે તેમાં ”શીર્ષકને વફાદાર” રહી શકતા હશે ! એટલે મૂળ લેખકને લાગે કે ચર્ચા વિષયાંતર કરે છે. લેખકના લખાણમાં ઘણી વાર શીર્ષકના હેતુથી સહેજ ફંટાઈને લખાતું જોવા મળશે જ. અર્થાત્ લેખક પણ વિષયને શીર્ષકથી આઘે લઈ જતો જોવા મળે ખરો. આવા સમયે કોમેન્ટ કરનાર બીજા માર્ગે જાય તે સાવ અને તદ્દન સ્વાભાવિક ગણાવું જોઈએ.

    બીજી એક વાત. બ્લોગ પરના વૈચારિક અને ખાસ તો ચર્ચાસ્પદ લેખોમાં જેમ એક આવેગ હોય છે – ને હોવો પણ ઘટે – તેમ કોમેન્ટ લખનારમાં પણ આવેગ હોય તે સહજ છે.

    વાત લેખના આકારની કે લેખના સ્વરૂપની કરીએ તો બહુ ઓછી જગ્યાએ લેખનું સ્વરૂપ જળવાતું હશે. ઘણા તો ફકરો પણ પાડ્યા વગર આખો ઢગલો કરી દેતા હોય છે ! આવે સમયે લેખની સૂક્ષ્મ વ્યવસ્થા જળવાય નહીં અને કોમેન્ટ કરનારને આઘાપાછા થઈ જવાનું બને. શ્રી અશોકભાઈને લાગ્યું તેવું કોઈનેય લાગવું તો ન જ જોઈએ. મારા જેવા તો લેખની કન્ટેન્ટ ઉપરાંત લેખના સ્વરૂપનીય ચિંતા કરનારને તો હાંસિયામાં લીટા કરીકરીને લેખને સુધારવાની ખણ ઉપડી આવે…..આ અર્થમાં જ મેં બાપુને વ્યાકરણની ચંત્યા કર્યા વગર લખાણના ફ્લોને અને ફોર્સને જ ધ્યાને લેવા લખ્યું હતું.

    શ્રી મીતાબહેનની વાત વિષયના હેતુ સાથે જ જોડાયેલી હોઈ એમની વાતનું ખાસ વજન છે. લેખકનો આવેગ એમનો પોતાનો છે. એ લખવાનો આવેગ અને વિષયના હેતુનો આવેગ બન્ને થોડા અલગ છે. ક્યારેક આત્યંતિકતા જોવા મળે ત્યારે વાચકોને લાગે જ કે આમાં તાટસ્થ્ય નથી…છતાં એનેય લેખકના પોતાના વિચાર અને વિચારસરણી ગણીને વાચકે પણ સહાનુભૂતિપૂર્વક ને દૃઢતાથી પણ પોતાની વાત મૂકવી જોઈએ.

    આપણા બ્લોગ્સમાં બાપુ અને ગોવીંદભાઈ એકધારું લખે છે. અશોકભાઈ, વિનયભાઈ, રજનીભાઈ જેવાઓના શબ્દોમાં ધોકાની તાકાત જોવા મળે છે. દરેકનો વિષય અલગ હોવા છતાં આવેગ એમની વિષય પ્રત્યેની વફાદારી સૂચવે છે. કાંતિભાઈ નિષ્ઠપૂર્વક ગાયત્રી ઉપાસના બ્લોગ દ્વારા કરે છે…આને પણ હું તો વફાદારી/નિષ્ઠા કહું.

    શ્રી મીતાબહેનની વાત મુજબ સારપ પણ લેવી જોઈએ તો સામે પક્ષે ચીરાગ તો કહે છે કે, ભારતીય સંસ્કૃતિની વાતો જ મૂકવા તેઓ તૈયાર થઈ રહ્યા છે….! હું તો ઈચ્છું કે ચીરાગ આ કાર્ય વહેલી તકે કરે.

    મારા આ લખાણમાં (એને લેખ નહીં કહું !) પણ મુદ્દાઓનો ક્રમ અને હેતુનિષ્ઠા પૂરાં જળવાયાં નથી જ !! બ્લોગ પરનાં લખાણોમાં આ એક જાતની ઉતાવળ છે ને તે ક્યારેક ગેરસમજો ફેલાવવામાં કામ કરી જાય છે. મારી પહેલી પંક્તિમાં વાતને સાદી કહીને શરૂઆત કરી પણ આખું લખાણ સાદું રહ્યું નથી….તેની ક્ષમા માગીને પૂરું કરું.

    Like

    1. ખૂબ ખૂબ આભાર જુગલભાઈ. આપ જેવા વડીલોએ ક્ષમા માંગવાની હોય ઉલટું અમને તો શીખવા મળતું હોય છે.

      Like

  22. શ્રી જુગલભાઈની બાજનજરમાંથી કશું છૂટી ન શકે, એટલે અશોકભાઈનું Sorry ભૂપેન્દ્રસિંહભાઈનું
    ’તર્કનો આશરો’ વિધાન વગેરેને સ્પર્શ કર્યા વિના મીતાબેનની ’વજન’દાર વાતથી શરૂ કરીને હું વિષય પર પાછો આવવા માગું છું. શરૂઆત તો ભાઈ દર્શિતની કોમેન્ટ અહીં કોપી-પેસ્ટ કરીને કરૂં.
    “દેવીપુજક સમાજ સુધરી પણ જશે ,.. પર હમ નહિં સુધરને વાલે ( કહેવાતા સંતો અને રાજકારણીઓ એ શરમ રાખ્યા વિના બંધ બેસતી પાઘડી પહેરી જ લેવી… )

    મીતાબેન,દર્શિતની વાત સાચી છે, ગરીબ કદાચ શ્રદ્ધા છોડી દે, પણ અમીર નહીં છોડે! ન છોડવા માટે ઘણાં કારણો છે. એક તો શ્રદ્ધા દ્વારા સમાજમાં એમની પ્રતિષ્ઠા વધે છે, એટલું જ નહીં એમની શ્રદ્ધાના પાત્ર ધર્મસ્થાનની પણ પ્રતિષ્ઠા વધે છે. ડોનેશનો માગનારા પણ એમની પાસે જશે. એ એમને નારાજ નહીં કરે! બદલામાં પેલા એની વાહવાહ કરવાના છે! ધનસંસ્થા અને ધર્મસંસ્થા એકબીજાને સહારે ચાલે છે.કોઈ પણ ધનવાનને પૂછશો તો એ કહેશે કે “ભગવાનની મહેરબાની છે”! ગરીબને પૂછશો તો એ કહેશે ” રામ રાખે તેમ રહીએ”. બન્નેનો ભાવ એક જ છે.

    આસ્તિકો આર્થિક રીતે સમૃદ્ધ અને આર્થિક રીતે પાયમાલ લોકોમાં જ મળશે. મધ્યમ વર્ગમાં જ આસ્તિક-નાસ્તિકની ભેળસેળ જોવા મળશે. ગરીબોને સમજાવો કે એની ગરીબાઈ અથવા બીજાની શ્રીમંતાઈ ભગવાનને કારણે નથી. એનાં કારણો બીજા છે તે પછી જૂઓ, શું થાય છે તે. ગરીબ પોતાની આસ્થા છોડીને બીજા સાચા ઉપાયો કરશે.

    આ સંદર્ભમાં ’કુરુક્ષેત્ર’ના વાચકો અને ચાહકોને બે ફ઼િલ્મો – “ઍલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ’ અને The Last Emperor જોવાની ખાસ ભલામણ કરૂં છું.

    અંતે વિષયાંતરનો આરોપ સહન કરવાની તૈયારી સાથે હું કહેવા માગું છું કે ખરી પ્રોસેસ તો આપણી પોતાની માન્યતાઓને પડકારવાની છે. ભાઈ ચિરાગ આપણી સંસ્કૃતિનો મૂળ સંદેશ ફ઼ેલાવવા માગે છે તો મને વિશ્વાસ છે કે એમને આ પ્રયાસ દરમિયાન Argumentative Indian મળી આવશે. આજે આવો ’ઇંડિયન’ નથી રહ્યો, બનાવી દેવાયો છે. ધર્મસત્તા અને રાજસત્તા્નાં એમાં સંકલિત અને સ્થાપિત હિતો રહેલાં છે. અશોકભાઈ ક્રોપોત્કિન પર આગળ વધશે ત્યારે આ વાત વધારે સ્પષ્ટ થશે.

    શ્રદ્ધા-અશ્રદ્ધા-અંધશ્રદ્ધા, બધું ગૂંચવાયેલું છે. સેન્ચરી કરનારો ક્રિકેટર બૅટ ઊંચું કરીને પ્રભુનો આભાર માને છે, એનો અર્થ એ પણ થાય કે ભગવાનની મહેરબાનીથી એ શક્ય બન્યું એમ એ કહે છે. આ તો એની નમ્રતા છે! એમાં ટીકા કરવા જેવું શું? પરંતુ કોઈ ખેલાડી શૂન્ય રન કરીને બૅટ ઊંચે આકાશ તરફ઼ તાકતો નથી. એમ કરે તો માનીએ કે એ કહે છે “જેવી ભગવાનની મરજી!” પણ આવું બનતું નથી. આમાંથી એની શ્રદ્ધાનું નક્કર માપ મળશે.

    Like

    1. લાસ્ટ એમ્પરર ખૂબ સરસ મુવી છે. એમાંથી ઘણું શીખવાનું મળે તેમ છે. મૂળ તો આ કહેવાતા સંતો પ્રત્યે એટલો બધો અહોભાવ જગાડવામાં આવતો હોય છે કે એમની ચાલાકીઓ સમજાતી નથી. ધર્મ અબ ધંધા હૈ. આ કહેવાતા સંતો અને મહાપુરુષોએ દેશની માનસિક બ્લ્યુ પ્રિન્ટ એટલી બધી બગાડી મૂકી છે કે પ્રજા સાવ ઝમીર વગરની અને નિર્માલ્ય બની ચૂકી છે, અમથી હજાર વર્ષ ગુલામ રહી હશે?

      Like

  23. જ્યાં વસ્તી વધુ હોય, જ્યાં સરવાઇવલ વધુ કઠીન હોય, ત્યાં માણસ મન વધુ નબળું બને છે.
    અને નબળું માણસ જલ્દીથી અંધશ્રધ્ધાનો શિકાર બને છે.
    જો એ ગરીબ માણસ હોય, ત્યાં રોજ રોજના જીવનસંઘર્ષ ને કારણે વધુ અંધશ્રધ્ધાળુ હોવાનો.
    અને વધુ વગ વાળો કે પબ્લિક આઈ વાળો માણસ એની જે તે સત્તા જમાવી રાખવા સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવવાનો.
    (એ પછી બકરાને આપેલો દંડ (બલી સ્વરૂપે) હોય કે કોઈ અધિકારીને આપેલી લાંચ. બધી નૈતિકતા બાજુ પર રાખીને પણ પૈસાપાત્ર માણસ પણ એની સત્તાના સંઘર્ષમાં એના નબળા માનસનો શિકાર બનાવાનો).

    કદાચ એટલે જ સ્વામી વિવેકાનંદ હંમેશા હિંમતની, શોર્યની, સદાચારની, આત્મશ્રદ્ધાની વાતો કહી ગયા છે.
    એમના મતે રાવણને પરાજય કરવો હોય તો એક જ રસ્તો છે. રામે જીતવું જ પડે.
    અશુભ વિચારોથી મુક્ત થવું હોય તો એક જ રસ્તો છે કે સતત શુભ વિચારો કેળવવા જ પડે.
    (આમાં ગરીબ કે તવંગર કશા ભેદ નથી. જેનું માનસ નબળું છે તેને માટે દરેક બીજાની દ્રષ્ટિએ અંધશ્રદ્ધા, એની પોતાની દ્રષ્ટિએ શ્રદ્ધા હશે.)
    અને આમ પણ લોભિયા આગળ ધુતારા ભૂખે ના મરે. (પછી એ ધુતારા ઢોંગી જ્યોતિષી હોય, ભુવા હોય, ઢોંગી સાધુ હોય કે લંપટ મિત્ર હોય)

    Like

    1. small correction in above comment અને નબળું માનસ જલ્દીથી અંધશ્રધ્ધાનો શિકાર બને છે.

      Like

    2. ધન્યવાદ, એકદમ પરફેક્ટ. જ્યાં સર્વાઈવલ માટે કઠિનતા હોય ત્યાં અંધશ્રદ્ધા ભગવાન બધું વધારે હોય છે. ભારત જેમ જેમ નબળું પડતું ગયું તેમ તેમ ભક્તોની ભરમાર વધતી ગઈ છે તે ઇતિહાસ ગવાહ છે.

      Like

      1. “ ભારત જેમ જેમ નબળું પડતું ગયું તેમ તેમ ભક્તોની ભરમાર વધતી ગઈ છે”

        ખરેખર તો ભક્તોની એમ ન હોય પણ ‘ભગતડાં’ની એમ લખાવુ; જોઈએ. કારણ કે “ભક્તો” તો ભારત સશક્ત હતું ત્યારે તો હતા જ પણ નબળું પડ્યાં પછી પણ, આજેય જોવા મળે છે. આપણી વાત ભક્તો અંગે નહીં પણ ભગતડાં અંગેની છે.

        Like

          1. ના.

            સંતોની વાદેવાદે ભગતડા વધી ગયા તેમ હરગીઝ ન કહેવાય. લોકોની અંધશ્રદ્ધામાંથી લાભ મળે છે તે જાણીને કેટલાકો સંત જેવા બનવા માંડે એટલે સંતની વાદે ન કહેવાય. વાદેવાદે કહીએ એટલે જાણેઅજાણે સંતોને પણ એમાં ડાઘ લાગતો હોય તેવું સમજાય છે.

            Like

  24. માન.ભુપેન્દ્રસિંહજી,
    શ્રી.મિતાબહેન અને શ્રી હિરલબહેન,આપે ’મારી’ તરફેણ કે વિરોધ કર્યો એવા કોઈ અર્થમાં નહીં પરંતુ જરાતરા અઘરી એવી ચર્ચામાં ભાગ લીધો એ બદલ ધન્યવાદ. સમજદારી પર સૌનો સમાન અધિકાર છે એ સાબિત થયું !

    શ્રી.જુગલકીશોરભાઈ અને દિપકભાઈ જેવા મિત્રોએ ખરે જ બહુમુલ્ય માર્ગદર્શન કર્યું છે. અન્ય મિત્રોએ પણ યથામતિ પોતાના વિચારો જણાવ્યા એ બહુ રુળું કામ કર્યું. કદાચ ભિન્નમત સાંભળવામાં બાપુને “પણ” ઘર કરી ગયેલી કોઈ અંધશ્રદ્ધા આડી આવતી હોય તેમ બને ! પરંતુ અહીં કોઈ પાસે કશું સ્વિકાર કરાવવાનું નથી જ. માત્ર લેખક જે વિચાર મુકે, તે દ્વારા અન્યના વિચારો જાણવા માંગે, તે પર સૌ પોતાની દૃષ્ટિએ ખરી-ખોટી લાગતી બાબતો રજુ કરે. જે વિષયે પોતે જાણકારી ધરાવતા હોય તે વિષયે, કોઈ તર્કશાસ્ત્ર વિષયે, કોઈ સમાજશાસ્ત્ર વિષયે, કોઈ લેખનકલાના વિષયે, કોઈ વ્યવહારૂ ઉપયોગના વિષયે, કોઈ જે તે વિષય પર પોતાના અંગત અનૂભવના આધારે, એમ વિવિધ દૃષ્ટિકોણથી પ્રતિભાવ આપવા, શક્ય તેટલો ન્યાયયુક્ત અને લેખકની પ્રગતિનો કારક બની શકે તેવો પ્રતિભાવ આપવા, પ્રયત્ન કરે તે વ્યાજબી જ છે. મારા મત અનૂસાર આપણે સૌ મિત્રોએ અહીં આવો પ્રયાસ કર્યો જ છે. અને લેખકશ્રીએ પ્રત્યુત્તરોમાં પણ પોતાનું મંતવ્ય, પોતાનો વિચાર, પોતાની વિચારશૈલી પ્રક્ટ કરવાનો યથાયોગ્ય પ્રયાસ કર્યો જ છે.

    એક પ્રતિભાવક તરીકે ડર માત્ર એટલો જ રહે કે ચર્ચામાં ક્યાંક, અજાણપણે પણ, કડવાશ ન ભળી જાય ! જો કે મારા નમ્ર મતે આ ધ્યાન રાખવાની સર્વાધિક ફરજ લેખકની પોતાની રહે છે. હું મારો પક્ષ ન તાણી શકું પરંતુ મિતાબહેન, હિરલબહેન, હમણાં જુગલકીશોરભાઈએ ’ભક્ત’ અને ’ભગતડાં’ પર બહુ જ ટુંકાણમાં પણ સમજવા જેવા બે શબ્દો લખ્યા તથા આગળ પણ પ્રતિભાવની આપ-લે સંબંધી જે યાદ રાખવા જેવું માર્ગદર્શન કર્યું તેના પક્ષમાં, અન્ય અનુકૂળ જણાયા તે મિત્રોના પક્ષમાં, હકાર તો ભણવો જ પડે ને.

    અને બીજું, હું કંઈ મોરારીબાપુનો પંખો (Fan !!) પણ નથી છતાં મને એ કહેવામાં કશી શરમ પણ નથી આવતી (જો કે હાલ સુધરેલા ગણાવા માટે આવી શરમો આવવી જોઈએ !) કે હું જ્યારે સમય અને તક હોય ત્યારે મોરારીબાપુની કથા ’પણ’ સાંભળું જ છું. (TVમાં જ સ્તો) અને બહુ ધ્યાનપૂર્વક સાંભળું છું. (જો કે આ જાહેર કરવાની કંઈ વાત નથી, હું મિત્રોના બ્લોગ્સ આટલા ધ્યાનપૂર્વક વાચતો હોઉં તો કથાએ ધ્યાનપૂર્વક જ સાંભળતો હોઉં ને !! આમે કોઈને વાચ્યા-સાંભળ્યા-જાણ્યા વગર તેના પ્રત્યે આપણે કોઈ ધારણા કઈ રીતે બાંધી શકીએ ?) માટે કહી શકું કે કથાકાર તરીકે તેઓ લાજવાબ છે, પોતાની કલા પ્રત્યે પૂર્ણતયા સમર્પિત છે. અને લોકો પર તેનો પ્રભાવ પડે છે તેટલું તો અહીં પણ સૌએ સ્વિકાર્યું છે. તો પછી એ પડતા પ્રભાવનો ક્યાંક સદ્‌ઉપયોગ થતો હોય તેનો વિરોધ પણ ’વિરોધી છીએ’ એટલા માત્રથી જ કરવો એ મને વ્યાજબી નથી લાગ્યું. અને એ વિરોધના તર્કમાં પાછાં મોટામોટા છીંડાઓ રહેલા છે તે બતાવવાનો આ નાનકડો (અને હવે તો સહિયારો પણ ખરો !) પ્રયાસ હતો. માન્ય ગણવું, ન ગણવું એ મુળ લેખકશ્રીની મરજીની વાત હોય છે, તેમાં કોઈ આગ્રહ નથી જ.બાકી કથા દ્વારા કથાકરો કમાણી કરે તે તેમનો વ્યવસાય છે, એક સિદ્ધહસ્ત લેખક પોતાની લેખનકલાને આધારે આજીવિકા રળે, કલમને ખોળે માથું ધરે, તે કંઈ ખરાબ વાત નથી તો એક કથાકાર પોતાનો વ્યવસાય કરી અને બે પાંદડે (કે લાખ પાંદડે, એ તો આવડતની વાત છે !) થાય તેમાં શું ખોટું છે ? હા, વ્યવસાયને જે કંઈ ધોરણો લાગુ પડે છે તે તેને પણ લાગુ પડવા જોઈએ (અને સંવિધાન અનૂસાર પડે પણ છે). પરંતુ મિતાબહેને કહ્યું તે સાથે સહમત થતાં મારે પણ એ જ શબ્દ વાપરવો પડે કે પૂર્વગ્રહયુક્ત આંખથી ક્યારેય સાચું ચિત્ર ન દેખાય !

    અને હા, “માઠું લગાડવાની વાત ફરી કરી છે તો બહુ મારીશ” એટલું કહીને આપે અમને આપના દિલમાં સ્થાન આપી દીધેલું, તેમાં ‘બહુ મારીશ’ રદ કરીને તે સ્થાન પરથી ફરી નીચે ગગડાવી દુઃખ પહોંચાડ્યું છે !!! કદાચ આપને મિત્રોની સમજદારી પર શંકા છે 🙂 અહીં ફરીથી હું ખાસ તો બંન્ને બહેનો અને બંન્ને વડિલોનો, અમુલ્ય માર્ગદર્શન કરવા બદલ, આભાર માનીશ અને પેલા આપના ચેલકાનો આભાર તો હું રુબરુમાં જ માનીશ 🙂 આભાર.
    (બે દહાડા અંગત રોકાણ સબબ મોડો પડ્યો, મોળો નહીં !!, તે દરગુજર કરશોજી.)

    Like

    1. વાક્ય રદ એટલા માટે કરેલું કે આવા જ એક અંગત મિત્રને મેં ખરેખર ભાવપૂર્વક આ વાક્ય કહેલું તો એમને ખોટું લાગેલું. એ વાત યાદ આવી ગઈ અને મને આપ જેવા મિત્રો ગુમાવવાનું પાલવે નહિ. બાકી આપ જેવા મિત્રોનું સ્થાન કોઈ તાકાત ગગડાવી શકે નહિ. મારો દ્રષ્ટિકોણ સારા કાર્યો પ્રત્યે કોઈ વિરોધનો હોતો નથી.મને આ લોકોના સારા કાર્યો ટ્રેપ જેવા લાગે છે, પાંજરામાં ખાવાનું મુકીને આપણે થીયરી કે સિદ્ધાંત તરીકે સારું કામ જ કરતા હોઈએ છીએ અને પછી ઉંદર ઝડપાઈ જાય છે. ફીશીંગ કરનારા દોરીને છેડે વાંકી આંકડીમાં ખાવાનું ભરાવીને પાણીમાં નાખે, સારું કામ કહેવાય ને? પણ પછી એ ગલમાં માછલી ખાવાની લાલચમાં સપડાઈ જઈને ખૂદ ખોરાક બની જાય છે. માનવ બ્રેઈન બહુ શાતિર ખેલાડી છે. અહીં તો ગલ પકડે કોઈ અને સપડાય બીજો કોઈ. આભાર.

      Like

    2. શ્રી અશોકભાઈ, તમારાં કેટલાંક વાક્યો(અવતરણચિહ્નોમાં)ના છેડા પકડીને ચાલું તો –

      ૧) “કથા દ્વારા કથાકરો કમાણી કરે તે તેમનો વ્યવસાય છે”

      શિક્ષણ અને ધર્મ બે બાબતો એવી છે જેમાં માહિતી શીખવવાની સાથેસાથે જ્ઞાન અને ઉપદેશ પણ આપોઆપ આવી જતાં હોઈ હમણાં સુધી શિક્ષણ અને ધર્મને “વ્યવસાય” શબ્દથી ઓળખવામાં આવતા ન હતા. હવે આ બન્નેમાં પણ ભ્રષ્ટાચાર ચાલે છે તેથી કથાને કોઈ વ્યવસાય કહે તો ચલાવી લેવું પડે !

      છતાં કથા એ કોઈ ડાયરામાં કહેવાતી “વાર્તા” નથી ! રામાયણ કે ભાગવતકથામાં સીધી જ ધર્મની અને નીતિની વાત હોય છે. આટલા પૂરતું કથાકારને ધંધાદારી ગણી ન જ શકાય. હા, તેઓ સ્પષ્ટ કરીને કહેતા હોય કે “જુઓ બહેનો–ભાઈઓ ! આ એક અઠવાડિયાની પારાયણમાં હું તો મારો ધંધો કરવા આવ્યો છું તેથી બોધ આપવાનું કામ મારું ને બોધ લેવાની જવાબદારી તમારી રહેશે ! હું કથામાં નીતિની વાત કરું એનો અર્થ એવો ન જ કરવો કે હું પણ એ બધું પાળીશ. તમને ઠીક લાગે તો કથામાં આવો, બાકી મારું કામ તો ધરમની વારતા કરવાનું !!”

      ૨) “કથાકાર તરીકે લાજવાબ છે, પોતાની કલા પ્રત્યે પૂર્ણતયા સમર્પિત છે.” આ અંગે મને શંકા છે. ધાર્મિક કથાઓમાં આજકાલ જોક્સવાળી થતી હોય, વિષયાંતરો જ મુખ્ય બની જતા હોય, મૂળ કથાનો તો ભાગ્યે જ વારો આવતો હોય, વાલ્મિકી, વ્યાસ કે તુલસીદાસના શ્લોકો કે ચોપાઈઓ કરતાં ગઝલો–જોક્સનો રેશિયો વધુ હોય તો સાહિત્યના એક પ્રકાર તરીકે વિવેચકો એને માર્ક આપે નહીં ! હા, કથાકારે કહેવું જોઈએ કે આ શુદ્ધ રામકથા કે શુદ્ધ ભાગવતકથા જ છે તેવું અમે કહેતા નથી ! કથાકારની પાછળ લગાડેલા બોર્ડ પર ક્યાંય મૂળ કથાનું નામ જેમ કે ‘વાલ્મિકી–રામાયણ કથા’ એવું છાપવું નહીં !

      ૩) “અને લોકો પર તેનો પ્રભાવ પડે છે તેટલું તો અહીં પણ સૌએ સ્વિકાર્યું છે.”
      પ્રભાવ તો સંતુ રંગીલીનો ને મુન્નીબાઈનોય ક્યાં નથીપડતો ? પ્રભાવ પાડવા માટે થઈને સસ્તી લોકપ્રિયતાને માપદંડ બનાવવાની ભૂલ કરવા જેવી નથી. શહેરમાં સલમાનખાન અને બાપુ બન્ને આવ્યા હોય તો ટોળું ક્યાં વધુ હશે તે કહેવાની જરૂર ખરી ?

      ૪) ”એ પડતા પ્રભાવનો ક્યાંક સદ્‌ઉપયોગ થતો હોય…” આ ‘સદુપયોગ’ કરતાં ’કથાની અસરો’ એમ કહેવું વધુ ઠીક રહેશે, કારણ કે સદુપયોગ તો વળી બીજા પ્રશ્નો ઊભા કરશે !!

      બાપુ (ભુ.)એ તમને મારવાની વાત કરીને પછીયે પાછાં પારોઠનાં પગલાં ભર્યાં ને તમે બચી ગયા પણ હવે મને તમારી બીક લાગે તો એનું સું કરવું ?! તમારો વાઘ બીકાળવો સૅને, ઈ હારુ થૈને આટલું કીધું. તો બોલ્યુંસાલ્યું માફ (કે સાફ ?). બાપુએ એની આ ડેલીએ (કુરુક્ષેત્ર) સોફાળ પાથર્યો સૅ તી આટલી વાતું ને ગામગપાટા કરવીં સયીં, બાકી તો ટૅમ જ ક્યાંથો કાઢવો ? ઈમનો ને તમારો ને હંધાયનો આ, ભાર (ગમે એવો સૅ હૉ !).

      Like

      1. જુગલભાઈ જોયું નહિ? ભાઈ બહેન બધા એક થઇ ગયા? ચેલો પાછો દૂધ દહીં બેમાં પગ રાખે, પાછા વળી જવું સારું. દીપકભાઈ દૂર ઉભા ઉભા હસતા હશે. કોઈ મદદે આવ્યું નહિ તો “જય રણછોડ”.

        Like

        1. કુરુક્ષેત્રના મેદાનમાં ઉતરેલા સૌ યોદ્ધાઓ (Heઓ + Sheઓ),
          હમણાં કઈંક ગોટાળો થયો છે એટલે કોમેન્ટ અલગ લખીને પેસ્ટ કરવી પડે છે. નીચે જે (2) છે તે પેસ્ટ કરવા જતો હતો ત્યારે બીજા પ્રતિભાવો જોયા. અશોકભાઈનો, જુગલભાઇનો, બાપુનો… ’યુદ્ધસ્ય કથા રમ્યા’ વાજબી ઠરતું હતું ત્યાં જ મારૂં નામ જોયું. એટલે ’એકમેવમદ્વિતીયમ’ કોમેન્ટને (2) બનાવી દીધી છે. હવે (1) અને (2) બન્ને ભેગાં થાય છે.
          (1). પહેલું તો, ભૂપેન્દ્રસિંહભાઈ સાથે હું સંમત છું કે “મને આ લોકોના સારાં કાર્યો ટ્રેપ જેવાં લાગે છે,” બહોળા અર્થમાં એક કહેવત વાપરૂં? એરણની ચોરી અને સોયનું દાન. આમ છતામ એમના જેમ કોઈ કથાકારે સંડાસ માટે કથા કરી હોય તો એમાં મને વાંધો નથી અને એ બહુ મોટું ટ્રેપ ગોઠવી શકે એટલા ઇન્ટેલિજન્ટ હોય એમ પણ હું માનતો નથી. પરંતુ, ટ્રેપ એટલા પૂરતું તો છે જ કે વિવેકબુદ્ધિવાદીઓ પણ એમના વિશે બોલતાં બે વાર વિચાર કરે. આ બહુ મોટો લાભ છે. અંધશ્રદ્ધા સામેની લડાઇમાં ગાબડું અહીં પડે છે.
          શ્રી અશોકભાઈ કથાઓ ધ્યાનપૂર્વક સાંભળતા હશે એમાં તો શંકા નથી જ. એ એમનો ખોજી સ્વભાવ જ છે. એમણે આ કથાઓ બાબતમાં તો પોતાનો અભિપ્રાય આપ્યો નથી! ’સંડાસ માટે કથા’ના સમાચાર મળ્યા પછી અશોકભાઇએ કથા સાંભળવાનું શરૂ કર્યું હશે? હું નથી માનતો. બાકી જુગલભાઈના વિશ્લેષણને ditto કરૂં છું. શકીલભાઈની વાત કરૂં તો એ જૂનાગઢથી પાછા આવશે (જશે?) ત્યારે પૂછશું કે “કેમ છો?”
          ’અસંલગ્ન” વાતોનું એવું છે કે બાપુ તલવાર પૂરી મ્યાનમાંથી કાઢ્યા પહેલાં જ વીંઝવાનું શરૂ કરી દે છે. એમના મગજમાં જેટલા વિચારો આવે તે બધાં તીર છોડી દે છે.ધીરજ રાખીને એક મુદ્દા પર ટકી રહે તો થાય. આમાં ઘણા મુદ્દાને પૂરતો ન્યાય નથી મળતો. મારી વાત કરૂં તો હું તો ઓકૅમનું રેઝર વાપરૂં છું. જેના વિશે લખવું હોય તે સિવાયનું છોડી દ‍ઉં. હવે મીતાબેનને પણ પાછાં લાવો!
          પણ, પ્રદીપસિંહભાઈને જવાબ આપતાં ભૂપેન્દ્રસિંહભાઈએ ચર્ચાનું એક્સટેન્શન કર્યું છે, જે રસપ્રદ છે. એના માટે નીચે (2)
          (2)શ્રદ્ધા સામાજિક વિષય છે. એનું કોઈ માપ ન નીકળી શકે. એ સાપેક્ષ વસ્તુ છે. ઇતિહાસ જોઈએ તો વિજેતાઓની શ્રદ્ધાને જ શ્રદ્ધાનું સ્થાન મળ્યું છે. વિજેતા પરાજિત થઈ જાય ત્યારે શ્રદ્ધા પણ બદલાતી હોવાનું જોવા મળે છે. આખી સમસ્યાને આર્થિક દૃષ્ટિએ જોવાની જરૂર છે,
          બાયોલોજિકલ કે સાયકોલોજિકલ કારણો શ્રદ્ધાની ભૂમિકા સમજાવી શકશે પણ એનો સામૂહિક પ્રયોગ કેમ થાય છે તે સમજવા માટે ક્ષેત્ર વિસ્તારવું પડશે. આનો અર્થ એ નહીં કે બાયોલોજી કે સાયકોલોજી પાસે જવાબ નથી. એ મૂળભૂત છે. એના વગર સમાજનો ઢાંચો જ નહીં સમજી શકાય. પહેલાં લડાઇઓ થતી, તે પછી સમાજની અંદર જ વર્ચસ્વવાદી જૂથો ઊભાં થયાં એમની આ પ્રવૃત્તિને રાજાઓ વચ્ચેની લડાઈ સાથે સરખાવી શકાય. એ વર્ગની અમુક બેઝિક માન્યતાઓની આસપાસ સમાજ રચાતો હોય છે. જે માન્યતાઓ એ બેઝિક માન્યતાઓથી દૂર હોય તેનું સ્થાન નીચું માનવામાં આવે છે.

          આદિવાસીઓની શ્રદ્ધા સમાજના મેઇનસ્ટ્રીમની શ્રદ્ધા નથી. બીજી બાજુ આદિવાસી ગરીબ જ હોવાનો! કોઈ એકલદોકલ આદિવાસી પૈસાપાત્ર હોય તો એ જરૂર મેઇનસ્ટ્રીમ સાથે કોમ્પ્રોમાઇઝ કરીને, એની રીતો અપનાવીને જ આગળ વધ્યો હશે.

          મૂડીવાદી સમાજની રચના સાથે આ ભાવનાઓનું સ્થાન મૂડીએ લીધું. જેની પાસે મૂડી હોય તે ઊંચો. આમાં માત્ર ભાવનાનું નથી ચાલતું. કોઈ જાણીતો ફિલ્મ સ્ટાર મેલડી માતાની માનતા પૂરી કરવા આવે તો મેલડી માતાનાં મંદિરો મુંબઈ અને અમેરિકામાં બનવા લાગે. આમ શ્રદ્ધા મૂડીની, અને સત્તાની કે વર્ચસ્વની દાસી છે. આ કારણે એનું માપ એના માલિક વર્ગને માપવાથી મળે.

          Like

          1. શ્રી દીપકભાઈ
            સારા કાર્યો ટ્રેપ જેવા લાગે છે તેમાં આપ સમંત થયા તેમાં બધું જ આવી ગયું. ચાલો કોઈ તો મદદે આવ્યું ખરું. એક વાત પુછું? હિરલ સહીત તમામ મિત્રોને લેખમાં ક્ષતિ લાગે છે, કડક આલોચના બધાએ કરી, સ્વીકાર્ય છે. પણ એક સવાલ કે મોરારીબાપુને છોડો, ભૂલી જાઓ કે એમનો ઉલ્લેખ કર્યો છે, જો એમની જગ્યાએ પ્રમુખ સ્વામીનું નામ લખ્યું હોત કે એમનો દાખલો આપ્યો હોત તો? આલોચના કરવામાં થોડો ફેર પડ્યો હોત કે નહિ? અને જો આશારામ નો દાખલો આપ્યો હોત તો??

            Like

            1. આભાર. તમે પ્રદીપસિંહભાઈના પ્રતિભાવ પર પ્રતિભાવ આપતાં જે મુદ્દા ઊભા કર્યા તે વધારે ઊંડાણમાં લઈ જાય એવા હતા, એ્ટલે મઝા આવી. શ્રદ્ધા સત્તાની દાસી છે એ પ્રયોગ મેં પોતે પણ પહેલી જ વાર કર્યો છે! આમ, નવું અને નવી રીતે વિચારવાની મને પણ તક મળી. સંવાદનો આ જ તો લાભ છે. મેં ભૂલથી એને ભૂપેન્દ્રસિંહભાઈનો પ્રતિભાવ માનીને તમારી જગ્યાએ એમનું નામ લખી નાખ્યું. તો ક્ષમા કરશો.

              Like

  25. ભૂપેન્દ્રભાઈનો લેખ મનનીય છે. ગરીબ શું કે અમીર શું. સૌ કોઈ વહેમી હોય છે અને એક યા બીજા પ્રકારની અંધ શ્રદ્ધામાં માનતા હોય છે. એટલે જ તો ફેંગસુઈ, વાસ્તુશાસ્ત્ર અને જયોતીષીઓનું ચાલે છે.

    એક વખત હું ચોટીલા મારા એક સગાને મળવા ગયો. અને ભૂતની વાત નીકળી અને તે મિત્ર ને પિતાશ્રી બંને એ કબુલ કર્યું કે “હા હો ભૂત તો ન જ હોઈ શકે.” પણ પછી થોડો પો’રો ખાઈને વડિલ કહે “પણ … પલિત તો હોય જ હૉ..”

    કંઇક આવું જ વહેમ અને રીવાજો વચ્ચે છે. બધા રીવાજો આમ તો સમાજ લયબદ્ધ રીતે જીવે અને આનંદ પૂર્વક પોતાના ફરજરુપી ધર્મ બજાવતો રહે અને સમાજની સેવા કરી તેની ઉન્નતિ કરે. પણ જો રીવાજની ઉપયોગીતા ન હોય અને આનંદ પણ ન મળે તો તે રીવાજ અંધશ્રદ્ધામાં ખપાવવો જોઇએ. પણ જે સમુહને આનંદ આવતો હોય અને પોષાય તેમ હોય તો ચાલુ રાખે. સમસ્યા પ્રાથમિકતાની પણ છે.

    Like

    1. શિરીષભાઈ,
      તમારી આ વાત ગમી: “…જો રીવાજની ઉપયોગીતા ન હોય અને આનંદ પણ ન મળે તો તે રીવાજ અંધશ્રદ્ધામાં ખપાવવો જોઇએ.”
      દાખલા તરીકે, રાખડી બાંધવાનો રિવાજ. આમાં આનંદ છે, એક ભાવના છે. નવા વરસની્ શુભેચ્છાઓ આપવી. આમાં પણ આનંદ છે. પણ દહેજ આપવું-લેવું આમાં શોષણ છે.
      બીજા પ્રદેશો કે નાતની વાત નથી જાણતો, પણ કચ્છના નાગરોમાં એક રિવાજ હતો કે કન્યાને વિદાય કરતી વખતે બધા વડીલો પણ કન્યાને પગે લાગીને વિદાય આપે. કન્યા એમના પર ચોખા વેરે. આ મારા બાળપણની વાત છે. વર્ષો પછી એ રિવાજ નીકળી ગયો. આ સાથે એક કવિતા પણ મરી ગઈ.
      સદ્યસ્નાતા કન્યા લાલ કોરવાળા પાનેતરમાં માંયરે બેસે વાળમાંથી હજી પાણી ટપકતું હોય, પાનેતરની એક કોર ભીની થઈ ગઈ હોય…આ દૃશ્યમાં જે કવિતા છે તે હવે ક્યાંક ખોવાઈ ગઈ છે. લાલ ચુંદડીમાં સજ્જ કન્યા મને હંમેશાં સુંદર લાગી છે.. દિલ્હીમાં કોણી સુધી ચૂડીઓ પહેરવાનો રિવાજ ્છે.. છોકરીઓ નોકરી પણ કરતી હોય. હાથમાં ચૂડાવાળી કોઇ કન્યા મને મેટ્રો કે બસમાં મળે તો એ સાક્ષાત કવિતાના માનમાં મેં હંમેશાં સીટ છોડી દીધી છે. આવા પતીકાત્મક રિવાજો બંધ થવાનો મને અફ઼સોસ છે. અલબત્ત, બુદ્ધિ પાસે આવાં પ્રતીકોનું કઈં કામ નથી એ જાણું છું

      Liked by 1 person

      1. દિપક ભાઈ આવી તો ઘણી કવિતાઓ આપણે ખોઈ નાખી છે. વાસ્તવમાં જોઇએ તો આપણા બધા તહેવારો કોઈને કોઇ કવિતા છે. પણ આપણે તેમાનું ઘણું આત્મપ્રતાડનના ઘમંડમાં આપણી સાંસ્કૃતિક રીતે ઉજવવાનું ખોઈ નાખ્યું છે.

        Like

    1. આભાર ભાઈ. આતો સફર છે, મિત્રો જોઈન થાય છે અને જતા પણ રહે છે. નવા મિત્રો આવે છે અને પાછા જતા રહે છે. બસ હમ ચલતે રહતે હૈ.

      Like

  26. આમ તો હવે આ મુદ્દે અહી કશું કમેન્ટ કરવા જેવું છે જ નહિ, પણ હમણાંનો એક અનુભવ કહીશ અને સાથે સાથે મારું અવલોકન પણ.

    અહીં અમદાવાદમાં એક ઓળખીતા ડોક્ટરને મળવા એમના દવાખાને ચાર-પાંચ વખત જવાનું બન્યું.
    એમનું દવાખાનું સ્લમ એરિયામાં છે. પહેલી વખત આટલી નજીકથી આ લોકોને(દર્દીઓને) આટલા નજીકથી સંભાળવાનો મોકો મળ્યો.

    ડોક્ટરને મળવા ખાસ તો વેઈટિંગ રૂમમાં બેસવું પડે. એટલે જે ઓબઝ્ર્વેશન છે તે લખું છું.
    દર્દીઓના મુખ એકદમ ગરીબી અને લાચારીમાં કંતાઈ ગયેલા અને નંખાઈ ગયેલા હોય.

    દરેક ગર્ભવતી સ્ત્રીને બીજી અજાણી કોઈ પણ સ્ત્રી દીકરો આવે એ માટેની માનતા અને દોરા-ધાગાની જ વાતચીતની આપલે થતી હોય.

    જો કોઈ સગું મળી ગયું તો કોઈના ને કોઈના વળગાડ અને એના માટેના ભુવા વિશેની વાતો જ હોય.
    આપણે જો ભુલ્થીએ ટાપશી પુરવાનું સાહસ કરીએ તો એક જ જવાબ મળે ‘બુન તમે મોટા લોકો માનો ની એટલે, બાકી અમે તો જીંદગીમાં આવા કેટલાય વળગાડ જોય સ’.

    —–
    બીજું શું કહું, હમણાં એક હિંદુ કુટુંબનો પરિચય થયો છે. teo સહ કુટુંબ (એક ઘરમાં ૩ ભાઈ, ૩ વહુઓ અને છોકરાઓ) સૌરાષ્ટ્રના ગામડેથી છે (ગામડે ખેતીનો વ્યવસાય). એમના ત્યાં જઈએ (છોકરા રમાડવા) તો પણ આવી જ વાતો હોય. (ગામડેથી અહી બે એક વરસ થયે આવ્યા છે.)

    કોઈ ભાભીને એક બહેન ઘરમાં હિંચકે દેખાઈ (ચુડેલની જેમ હસતી) અને એને ખુશ કરવા દરગાહે ગયા ને બધી વિધિ પીર પાસે કરવી પછી જ સારું થયું, જો આપણે સમજ આપવાની કોશીશ કરીએ તો પણ ભણેલા લોકોને અને ભણેલી છોકરીઓને તો કશી જ ખબર ના હોય, એમ આપણી વાત પણ કોઈ સંભાળે નઈ. (આપણે આ બધી વાતોમાં અભણ કહેવાઈએ, ઉલટું એ લોકો આપણને જ્ઞાન આપવાની કોશિશમાં લાગેલા હોય.)

    દરેકને દર થોડા દિવસે ચાર રસ્તે પગ પડે. એની વિધિ કરાવે અને એ જ ઘરેડમાં જીવે.
    આ દરેકની ઉંમર ૨૦ થી ૩૦ ની વચ્ચે. લગભગ બધા ૧૨ ચોપડી તો પાસ. બે વહુઓ ગ્રેજ્યુએટ. પણ …….
    —–
    આવા અંધશ્રધ્ધાના આત્યંતિક અનુભવો ઉચ્ચકોમમાં કે પૈસાપાત્ર માણસોમાં આટલી હદે જોવા નથી મળતા. એટલે જ કદાચ એક દ્રષ્ટિકોણ કેળવાઈ જાય છે ગરીબોની અંધશ્રદ્ધા વિષે.

    સમાજસેવી સંસ્થાઓના કાર્યકરો પણ આવા અનુભવો વધુ સારી રીતે કહી કે સમજી શકતા હશે.
    ‘સેવા’ સંસ્થાના કેટલાંક વિડીઓ વચમાં જોયેલા. જેમાં સંડાસ- બાથરૂમની વ્યવસ્થા માટેના અભિયાન, એમાં પડતી મુશ્કેલીઓ, સ્લમ એરિયાના લોકોનો એ માટેનો અભિગમ વગેરે ઘણું કહી જાય છે. કિરણબેદીના પણ કેટલાંક વિડીઓ જોયેલા (એમનો સંઘર્ષ પણ ગરીબ પ્રજાની લાચારી અને વિવશતા વિષે ઘણું કહી જાય છે. એ લોકોમાં અપરાધ અને ગુનાહિત પ્રવૃત્તિઓનું જોર કેમ વધુ હોય છે. (હવે, તમે એમ ના કહેતા કે પૈસાદારો શું ગુનાઓ કરતા જ નથી? તો પછી કિરણબેદી માત્ર ગરીબ લોકો માટે જ કેમ શાળાઓ (મફત શિક્ષણ વગેરે) ખોલે છે?).
    મૃગેશ વૈષ્ણવના ‘વળગાડ’ વિશેના લેખોમાં પણ ગામડાનાં અને અશિક્ષિત લોકોનો ઉલ્લેખ વધુ છે. (ક્યારેક અપવાદરૂપ કિસ્સાઓ અતિશિક્ષિત કુટુંબ ના ય ખરા, પણ મેજોરીટી તો તમે પોતે જ પુસ્તકમાંથી તારવી શકશો.)
    —–
    આશા કરું છું, મારું ઓબ્ઝર્વેશન કદાચ તમને તમારા લેખની ક્ષતિઓ સમજવામાં ઉપયોગી થશે.
    મેં ક્યારેય કોઈ બાપુ(કથાકાર)ને સંભાળ્યા નથી. બહુ બહુ તો પર્યુષણમાં વ્યાખ્યાનો ક્યારેક સંભાળ્યા છે અને એમાં કર્મોનું વિજ્ઞાન (મહાવીરની વાણી) જ મુખ્યત્વે સંભાળ્યું છે. કોઈ કથા કે કોઈ કથાકારને ક્યારેય સાંભળ્યા નથી.
    પણ એટલું જરૂર કહીશ કે દરેક સમાજ સુધારક ગ્રાઉન્ડલેવલે ચેન્જ લાવવા મથે છે. એ પછી દયાનંદ સરસ્વતી કે રાજા રામમોહના રાયનાં કાર્યો હોય કે ડો. સેમ પિત્રોડાના મુંબઈની ધારાવીની વસાહતમાં કઈ રીતે ઉપયોગી ઉપકરણો બનાવી શકાય એ માટેના રીસર્ચ પ્રોજેક્ટ્સ.

    Like

    1. દયાનંદ સરસ્વતીનું કોઈ બેંક બેલેન્સ હતું નહિ, રાજા રામમોહનરાય જેવા ઠોસ કાર્યો આ કહેવાતા સંતો કરતા નથી, સેમ પિત્રોડા ફક્ત એક રૂપિયો પગાર લઈને કામ કરતા હતા. હાલ અન્ના નો દાખલો છે. ગાંધીજીએ સ્વીસ બેન્કોમાં પૈસા મુક્યા નથી કે કોઈ મંદિર બનાવ્યું નથી. વલ્લભભાઈના ખાતામાં કેટલા રૂપિયા હશે? આવા તો અનેક હશે જ ને? અભણ લોકોમાં, પછાત લોકોમાં અંધશ્રદ્ધા વધુ જોવા મળે તે પણ સ્વાભાવિક છે, કે ભણેલાની અંધશ્રદ્ધા દેખાતી નથી, કે જોવા માંગતા નથી. ક ભૂવા પાસે જાય છે બીજો જ્યોતિષી પાસે કે બાવાશ્રી પાસે જાય છે તેથી અહીં ફરક પડી જાય છે.ભણેલા અને અમીરની અંધશ્રદ્ધામાં ધર્મ દેખાય તો પછી બિચારો ગરીબ જ બચ્યોને? આભાર.

      Like

  27. તમારી અંધ શ્ર્ધ્ધા વિશેની આટલી દેખીતી ચર્ચા વાંચવાની મઝા આવે છે.

    Like

  28. NAMASTE, JO AVI ANDHSHRADHHA DUR THAI TO SAMAJ MA KHUSHI ANE SAMRUDHI VASHE PAN BAVA SADHU NU AADHIPATYA MATI JAY AATALE TE LOKO AVA KAMO YENKEN CHHALU RAKHCHHE. BARABAR NE ASHOK “J”?

    Like

  29. ” ડાકલું એ સૃષ્ટિનું આદિ વાદ્ય છે. શિવજીએ પ્રગટ કર્યું અને વગાડ્યું.” એ પણ એક અનુમાન જ છે. શિવજી હતા કે નહિ તે પણ અનિશ્ચિત છે. જો હતા કે છે તો પછી કૈલાસ પર્વત પર ચીનાઓનું રાજ કેમ છે? તેમણે તેમના ત્રિશૂળથી ચીનાઓને કેમ હરાવ્યા નહિ? શા માટે હિન્દુઓને ચીનના વિસા લેવા પડે છે?

    બધી જ શ્રધ્ધાઓને વ્યાજબી ઠરાવવાની હોય તો શીતળા મા અને બળિયા બાપા પ્રત્યેની શ્રધ્ધાઓને પણ વ્યાજબી ગણશો?

    Like

    1. આ બધું મારું માનવું નથી, કોઈ અરવિંદ બારોટે ફેસબુકમાં માહિતી આપેલી, જે મોરારીબાપુના લેખમાં પ્રતિક્રિયા રૂપે હતું. એક બાજુ આવા માણસો મોરારીબાપુ વિરુદ્ધ લખો તો આવા દાખલા શોધીને આપતા હોય છે અને બીજી બાજુ મોરારીબાપુ ખૂદ દેવી પુજકોની અંધ શ્રદ્ધા વિરુદ્ધ ડાકલા વિગેરે નો વિરોધ કરતા હોય છે ત્યારે એમને આ બધું જણાવવાને બદલે મને લખતા હોય છે. શિવજી આપણી કલ્પના માત્ર છે.

      Like

    2. કૈલાસ કઈ કોઈના બાપ નો થોડો છે…..કૈલાસ નું નિર્માણ કરતી વખતે શું શિવજી એ વિચાર કર્યો હતો કે હા કૈલાસ હિન્દી ઓ નો છે ચીની ઓ નો નહિ..એને મન તો બધા ચીના કે હિન્દી સરખા…..અને શિવજી નવરા નથી ચીના ઓ ને ત્રિશુલ થી હરાવા માટે………મહાભારત માં અર્જુન અને શિવ ની વારતા આવે છે વાચી લેજો……..કે જે બળિયા હોય એને જ શિવજી મદદ કરે છે નહિ કે માત્ર શિવલિંગ ઉપ્પર અભીશેકો કરનારા ઓ ને……

      Like

  30. શિવ એ ઈશ્વર છે. ઈશ્વર એ રુદ્રનું એક નામ છે. આમ તો શિવ એ પરમ બ્રહ્મ છે. અને તેમાંથી બ્રહ્માણ્ડ ઉત્પન્ન થયું. આ બ્રહ્માણ્ડ એ રુદ્રનું શરીર છે. આ રુદ્ર, ભવ શર્વ અને હર ના નામરુપી સ્વરુપથી જગતની ઉત્પત્તિ, પાલન અને વિનાશ કરે છે.

    ઈશાવાશ્યં ઈદં સર્વં. આ આખુ જગત ઈશ્વર મય છે.

    શિવનું વ્યક્તિ-ચિત્ર એ એક પ્રતિકાત્મક કલ્પના છે. શિવને કોઈ આકાર નથી.

    ઈશ્વર કોઈ ભેદ રાખતો નથી. ઈશ્વર ગુણાતીત છે. અને બધાને કર્મના ફળ આપે છે. પણ આ કર્મ વ્યક્તિગત જ હોય તે જરુર નથી. સમાજ અને વ્યક્તિ બંને ના પરિણામી પ્રમાણસર રીતે ફળ આવે છે. તમે ઈશ્વરને પૂજો કે ન પૂજો તેથી ઈશ્વરને ફર્ક પડતો નથી. આ વાત બાવાજીઓએ, તેમના ભક્તોએ, બાવજી વગરના ભક્તોએ, અભક્તોએ અને નાસ્તિકોએ બધાએ સમજી લેવાની જરુર છે.

    નહેરુએ જો તીબેટ ઉપર ચીનનું સાર્વભૌમત્વ માન્ય ન રાખ્યું હોત અને ચીને જ્યારે તીબેટ ઉપર આક્રમણ ક્ર્યું ત્યારે નહેરુએ તીબેટને મદદ કરી હોત તો ઈતિહાસ કંઈક જુદો જ હોત. જો સંસદમાં તે વખતે થતી ચર્ચા ઉપર જનતાએ ધ્યાન આપ્યું હોત અને નહેરુનું રાજ ખતમ કર્યું હોત તો નહેરુએ ચીન સાત્થેની સરહદ જે રેઢી મુકેલી તે રેઢી મુકાઈ નહોત અને ચીન આક્રમણ કરી શક્યું ન હોત. અને જો ચીને આક્રમણ કર્યું પણ હોત તો ભારતીય સેનાએ તેને ખોખરું કર્યું હોત.

    કૈલાસ ઉપર ચીનાઓનું રાજ કેમ છે અને કેમ વિસા લેવો પડે છે?

    એનો ઉત્તર એ છે કે “જણનારીમાં જોર ન હોય તો સુયાણી બિચારી શું કરે?” ઈશ્વર એને જ મદદ કરે છે જેઓ પોતાને મદદ કરે છે. આ વાત વ્યક્તિ અને સમાજ બંને ને સામુહિક રીતે લાગુ પડે છે.

    Like

  31. મિસ્ટર ભુપેન્દ્રસિંહ…લેખ વાચ્યો …સારો લાગ્યો એમ નથી કહેતો…….ઠીક હતો…તમે પોતે શું કહેવા માગો છો એ બાબત માં સ્પષ્ટ ના હતા………..ગોળ ગોળ વાતો ને ફેરવી ને લખેલો લેખ છે….અને ઘણી બધી વાતો નો તંતૂ મળતો નથી……લખવા માં કચાશ રહી ગયી હોય એમ લાગે છે…….એક દિવ્યભાસ્કર માં લેખક છે પ્રકાશ શાહ…એ આવો જ ગોળ ગોળ લેખ લખે છે …ફુરસદ મળે તો વાંચજો એમને…..અને રહી વાત સ્વાધ્યાય પરિવાર ની તો તમે સ્વાધ્યાય પરિવાર વિષે કેટલું અને શું જાણો છો…સમાજ માં કોઈ એ અંધ્શ્રાધા કાઢવાનું કામ કરેલું હશે તો એ સ્વાધ્યાય પરિવારે…..કોઈ દિવસ ફુરસદ મળે તો પાંડુરંગ શાસ્ત્રી ના પ્રવચનો મન અને બુદ્ધિ ખુલ્લા રાખી ને સંભાળજો……( કોઈ પણ પ્રકાર નો પૂર્વગ્રહ રાખ્યા વગર..) રહી વાત ચાણોદ ના શિબિર ની …..કે જેમાં પોતાના કરેલા પાપ ચિટ્ઠી માં લખી ને અગ્નિ માં સ્વાહા કરવાની તો એમાં ખોટું શું છે………વેદો નું જો તમને થોડું ઘણું જ્ઞાન હશે તો ખબર હશે કે અગ્નિ એ ભગવાન નું મોઢું છે અને અગ્નિ માં સ્વાહા કરવાથી ભગવાન પોતે જ એ લાયી લે છે…એમાં ક્યારે પણ કહેવામાં નથી આવ્યું કે બીન્સ્વધ્યાયી નાં કરી શકે…હોળી ના દિવસે તમે શું કરો છો અને શું જુવો છો અને શાની પ્રાર્થના કરો છે એ તમે કહેશો…? અને રહી વાત સછીદાનંદ ની જેને પોતાના ધોતિય ના ઠેકાણા નથી ..એ શું બીજા ની ભૂલો બતાવી શકે…….???????????????? સ્વાધ્યાય પરિવાર કોઈ ની પણ હત્યા કે ખૂન ને ક્યારે પણ પ્રોત્સાહન આપતો નથી…….કોઈને ક્યારે પણ મસ્જીદ માં જેમ આતકવાદ ની ટ્રેનીગ અપાય છે એમ કોઈનું પણ ખૂન કરવાની ટ્રેનીગ કે શિક્ષણ અપાતા નથી………અને ક્યારે પણ સ્વાધ્યાય પરિવાર નું કઈ પણ લખતા પહેલા ગુજરાત ભાર ના ગામડા ઓ માં પ્રવાસ કરો માહિતી મેળવો…ચિંતન કરો…..જુઓ અને પછી કાઈ પણ લાખો..બે પૈસા નાં સમાચાર પત્રો માં કાઈ પણ છાપી ને આવે એમ વાનીશુરા અને લેખાન્શુરા બનતા પહેલા વિચારો કે સ્વાધ્યાય પરિવારે જે કામ કર્યું છે એ કામ નો એક અંશ પણ તમારા માં કરી શકવાની હિંમત અને તાય્યારી છે………?

    Like

  32. “રહી વાત ચાણોદ ના શિબિર ની …..કે જેમાં પોતાના કરેલા પાપ ચિટ્ઠી માં લખી ને અગ્નિ માં સ્વાહા કરવાની તો એમાં ખોટું શું છે………વેદો નું જો તમને થોડું ઘણું જ્ઞાન હશે તો ખબર હશે કે અગ્નિ એ ભગવાન નું મોઢું છે અને અગ્નિ માં સ્વાહા કરવાથી ભગવાન પોતે જ એ લાયી લે છે”
    આ વહેમ નથી તો બીજું શું છે? અને હોળીનો દાખલો આપવાથી કંઈ વહેમ એ તથ્ય સિદ્ધ થતો નથી.

    (જોકે જુદીજુદી રીતે)પણ આઠવલેજી અને ઔરંગઝેબ બંને પ્રત્યે મને માન છે પણ તેમના અનુયાયીઓ કંઈપણ કરી શકે. ઔરંગઝેબને નામે ઘણી હત્યાઓ ચડી જ છે. જો ઈન્દીરા ગાંધીએ કટોકટીના સમયમાં કરેલા અત્યાચારો માટે તેના ભક્તો (જેમાં કેટલાક મીડીયા મૂર્ધન્ય એવા કટાર લેખકો પણ સામેલ છે) સરકારી નોકરોને જ જવાબદાર માનતા હોય અને ઈન્દીરા ગાંધી તેમાં નિર્દોષ હોય તો ઔરંગઝેબ પણ નિર્દોષ તો હોવો જ જોઇએ કારણ કે એનું સામ્રાજ્ય તો આધુનિક ભારત કરતાં ઘણું વિશાળ હતું અને દૂરસંચારના સાધનો તો હતા જ નહીં. એટલે કોણ ક્યાં કયા કારણે કોના માટે કોના તરફથી લડે છે તેની ઔરંગઝેબને સો વર્ષે પણ ખબર ન પડે જો ઈન્દીરા ગાંધીને ૧૮ મહિને પણ દૂરસંચાર માધ્યમ ઉપલબ્ધ હોવા છતાં પણ ખબર પડી ન હતી.

    વહેમ તો પૈસાદારોમાં અને કહેવાતા ભણેશરીઓમાં પણ પુસ્કળ હોય છે. ભૂત અને પલિત એક જ છે. તમે કહો કે “હું ભૂતમાં માનતો નથી” અને પછી કહો કે “ના હો પણ પલિત તો હોય જ છે” એવી આ વાત છે. ભક્તોનું સામ્રાજ્ય સ્થાપવાથી અને ઉત્તમ શ્રોતાગણ પાળવાથી બ્રહ્મજ્ઞ બની જવાના ભ્રમમાં રહેવું ન જોઇએ.

    કોઇનું ખુન થઈ ગયું હોય તો બનાવનો ભક્તોએ સ્વિકાર કરી લેવો જોઇએ કે કંઈક ખોટું થઇ રહ્યું છે અને કશું ખોટું પણ છે. પણ પાપોનો એવો સ્વિકાર કાગળમાં લખીને તેને અગ્નિમાં હોમી દેવાથી કશું માફ થતું નથી. પોલીટીશ્યનો કદાચ આવા ગુનાઓ માફ કરી દે છે.

    અગ્નિમુખવાળા ઈશ્વર હોય અને કાગળની અગ્નિમાં બળી જવાની ક્રીયા થતી હોય તેથી કંઈ એવું સિદ્ધ થયું માની ન શકાય કે ઈશ્વર આ રીતે બધું માફ કરી દે છે. ઈશ્વર તો કોઇને કદી પણ માફ કરતો નથી. રાજા દશરથ તો ભગવાનનો (રામનો)બાપ હતો તો પણ તેણે પોતાના કર્મોના ફળ ભોગવવા પડેલા.

    Like

    1. શિરીષભાઈ,તમારી વાતના સમર્થન રૂપે એટલું ઉમેરવા માગું છું કે અગ્નિમાં કાગળ પર પાપો લખીને નાખવાની ક્રિયા, ખરેખર તો ખ્રિસ્તીઓની ‘કન્ફેશન’ પ્રણાલિકાનું ભારતીય રૂપ છે, પરંતુ કન્ફેશનમાં એક સારી વાત એ છે કે માણસ એમાં પોતાને મોઢે બોલે છે, જ્યારે અહીં માણસ પોતનાં પાપો ગુપ્ત રાખી શકે છે અને સંતોષ લે છે કે એનાં પાપો બળી ગયાં. આ તો ‘મેક-બિલીવ’ છે, અથવા દલા તરવાડીની વાર્તા જેવું છે, “રીંગણાં લૌં બે-ચાર/લે ને ભાઈ દસબાર” પોતે જ માની લેવું કે હવે મારાં પાપો બળી ગયાં!
      તમે ઔરંગઝેબ અને ઇન્દિરા ગાંધીની વાત કરી તે સારી લાગી. તમારા જેમ હું પણ પાંડુરંગ શાસ્ત્રીજીનો પશંસક રહ્યો છું કૃષ્ણ વિશે એમણે ભાગવત કરતાં હરિવંશ પુરાણને આધાર માનવાની સલાહ આપી છે. પરંતુ એમના અવસાન પછી જે થયું તેનો કોઈ બચાવ થઈ શકે એમ નથી. સ્વાધ્યાય પરિવાર યાદવાસ્થળીનો નમૂનો બની ગયો છે.

      Liked by 1 person

      1. શ્રી દીપકભાઈ તથા શિરીષભાઈ.

        મને ખબર નથી પણ પંકજ ત્રિવેદીનું ખૂન દાદાના અવસાન પછી થયેલું કે તેઓ હતા ત્યારે?? દીપકભાઈ આપને દાદા પ્રત્યે માન હશે, ચાલો એક વાત યાદ કરાવું. આપે પેલા તત્વજ્ઞાનના અધ્યાપક્શ્રીનો લેખ વાંચેલો કે ભારતને આઝાદી ભગવાને અપાવી. એના માટે ભગવાને ખૂબ નાટકો કરેલા, ચર્ચીલને હરાવેલો, એટલીને જીતાડેલો વગેરે વગેરે. વાંચીને પછી આપે શું કરેલું??કોમ્પ્યુટર શટ ડાઉન કરેલું. રાઈટ?? એ આઝાદી ભગવાને અપાવેલી વાળું મહાન તત્વજ્ઞાન પાંડુરંગશાસ્ત્રીનું છે. પેલો અધ્યાપક એમનો ચેલો હશે. આજે પણ ઘણા સ્વાધ્યાયીઓ એવું માને છે કે ભારતને આઝાદી ભગવાને અપાવી. ગાંધીજીએ મફતમાં નકામી ગોળીઓ ખાધી. હું તો મારી વાતમાં કાયમ સ્પષ્ટ હોઉં છૂકે આ કહેવાતા ધર્મ ધુરંધરોએ ભારતની પ્રજાને ધર્મનું અફીણ પીવડાવી કાયમ ઘેનમાં રાખી છે.

        Like

        1. ખૂન તો એમના મૃત્યુ પછી જ થયું. બની શકે છે કે એમના છેલ્લા દિવસોમાં પણ થયું હોય. મૂળ ઝઘડો તો મિલકતનો જ હતો એમ માનું છું. સ્વાધ્યાય પરિવાર પર કોનો અધિકાર, એ વિખવાદનું મૂળ. મેં એમનું એક પુસ્તક વાંચ્યું છે અને એક-બે પ્રવચનો સાંભળ્યાં છે. એમની પ્રવૃત્તિઓને નજીકથી જોઈ નથી.
          ભારતનેભગવાને આઝાદી અપાવી એ એમનો તર્ક છે? મારે માથું પકડીને બેસી જવું પડશે! એમનું જે વાંચવા મળ્યું તેમાં તો બૌદ્ધિક દૃષ્ટિકોણ છતો થતો હતો.
          શ્રી રાહુલભાઇ નીચે એક કૉમેન્ટમાં ‘ભૂલ’ સુધારે છે કે પાંડુરંગ શાસ્ત્રીના અનુયાયીઓ નહોતા, ‘ક્રુતિશીલો’ હતા/છે. પણ મેં કે શિરીષભાઇએ અથવા તમે અનુયાયી’ શબ્દ વાપર્યો હોવાનું જોવા ન મળ્યું. એમ હોય તો ધ્યાન દોરશો. બાકી, ‘અનુયાયી’ અને કૃતિશીલ’ વચ્ચે વ્યવહારમાં કઈં જ ભેદ નથી!

          Like

          1. શ્રી દીપકભાઈ માથુ પકડીને બેસી જ જાઓ. શ્રીમતીજીને કહો કે બે ટપલી મારે માથામાં, જેથી બેભાન થયા હોવ તેમાંથી જાગૃત થવાય. આ તર્ક દાદાનો જ છે. મને પણ હમણાં ખબર પડી. ફેસબુકમાં એક મિત્રે જણાવ્યું કે આ તો દાદાની કહેલી બહુ જૂની વાત છે. મોરારીબાપુ કહેતા હતા કે શ્રી રામના રાજ્યમાં લોકશાહી હતી , કેમકે રામ મંત્રી સુમંત ને પૂછીને બધું કામ કરતા હતા. ફરી માથુ પકડીને બેસી ના જતા.

            Like

          2. કોમ્મેન્ત્સ બરાબર વાચો ..લખ્યું છે એટલે જ જવાબ આપ્યો છે….((((જોકે જુદીજુદી રીતે)પણ આઠવલેજી અને ઔરંગઝેબ બંને પ્રત્યે મને માન છે પણ તેમના અનુયાયીઓ કંઈપણ કરી શકે.))))તમારી બુદ્ધિ ને માન આપવું ઘટે ભાઈ જે અનુયાયી અને ”કૃતિશીલ” નો ભેદ પારખી શક્તિ નાં હોય…..?????????? મારા ખ્યાલ મુજબ ”અનુયાયી” એટલે અનુકરણ કે અનુસરણ કરનાર……અને દાદાજી એ કોઈ પણ બાબત માં કોઈ દિવસ આવો આગ્રહ પણ રાખ્યો નથી… ..એક પાકા” rationalist ” બનીને જો બુદ્ધિ માં ઉતરે તોજ કરવાનું કહેલ છે……( એ માટે એક સરસ કોટ પણ કરે છે… શંકરાચાર્ય નો ” કે જો વેદો એમ કહશે કે અગ્નિ ઠંડો હશે તો પણ હું માનીશ નહિ એ માટે હું મારી બુદ્ધિ પર નિષ્ઠા રાખીશ પણ મને મારી બુદ્ધિ પર એ પણ નિષ્ઠા છે કે વેદો આવું ક્યારે કહેશે જ નહિ)……..કહેવાતા અનુયાયી ની જેમ કાઈ પણ વિચાર્યા વગર આંધળું અનુકરણ કરવું એ મૂર્ખતા નથી ? ઘણું બધું લખી શકાય આ બાબતે પણ સ્થાન અને સમય નાં અભાવે હું આગળ લખતો નથી…..

            Like

          3. ભાઈ પાંડુરંગ શાસ્ત્રી બધી સારી વાતોનો યશ ભગવાન ને જ આપે છે.ભલે પછી તે સ્વાધ્યાય પરિવાર ની સિદ્ધિ ઓ હોય કે તેમને મળેલા વિશ્વ નાં શ્રેષ્ઠ પુરસ્કારો “‘ જોહન તેમ્પલ્તન” કે ”રેમન મેગ્સાસે ” અવાર્ડ હોય..એમાં એ કોઈ દિવસ ખાલી પોતાની જ મહેનત , ચતુરાઈ, ત્યાગ અને બલિદાન છે એવું નથી માનતા….અને એમાં પણ માણસ ની ભગવાન પ્રત્યે ની કૃત્ગ્ન્યતા છે …અને સામાન્ય વયવહાર માં પણ આપને બધા પ્રયત્નો કરી બધી રીતે હારી જઈએ અને કોઈ આપણને મદદ કરે તો શું આપને ભગવાન નો આભાર નથી માનતા…..કે ભગવાન નો હાથ નથી માનતા….ડોકટરો દ્વારા ઘણા અસફળ પ્રયત્નો ને અંતે મરણ પથારી એ પડેલો માણસ બેઠો થયી જાય ત્યારે ડોકટરો ને કહેતા નથી સાંભળ્યા ” આ ચમત્કાર હતો ” અને આપને એમ કહીએ કે એમાં ભગવાન નો હાથ હતો…..ગાંધીજી એ અને લાખો સ્વતંત્ર વીરો એ ભારત ને સ્વતંત્ર કરવા પ્રયત્નો કર્યા પણ એમાં એ સફળ થયા તો એમાં એમની મહેનત, ત્યાગ ,બલિદાન અને ભગવાન નો હાથ હતો એમ કેમ નથી માનતા.. ??????????? શું માણસ આટલો અક્રુત્ગ્ન્ય હોઈ શકે ? તમે જો ઈતિહાસ વાંચેલો હશે તો આઝાદી વખત ની ઘણી ઘટના ઓ ખબર હશે જ…જેમ કે લેબર પાર્ટી નું સત્તા માં આવવું , હિટલર દ્વારા ૨જુ વિશ્વયુદ્ધ શરુ કરવું, આઝાદ હિન્દ ફોઝ અને સુભાષબાબુ દ્વારા અંગ્રેજો ને ભય લાગવો, એમાં તમને ગાંધીજી કે બીજા સ્વાતંત્ર્ય વીરો નું શું કર્તુત્વ દેખાયું ? ગાંધીજી અને એમના જેવા લાખો સત્યગ્રહી ઓ ઉપવાસ કરી ને મરી જાત ને તો પણ કાબા અંગ્રેજો નાં પેટ નું પાણી પણ નાં હલ્યું હોત…કારણકે એ લોકો દુનિયા માં શાસન કરવા નીકળેલી મહાન પ્રજા હતી……( એમના પણ દિવસો ખલાસ થયા હવે..એમાં પણ ભગવાન નો હાથ છે..) અને એક વાત તમે જીવન માં જોઈ હશે કે વાંઝીયા પ્રયત્નો નું કાઈ પણ સફળ પરિણામ નથી હોતું કે જ્યાં સુધી એમાં તમને અદ્રશ્ય શક્તિ નો સાથ નાં મળે……તમે એને વ્યવહાર ની ભાષા માં ” લક ” કહો છો…..એ ” લક ” કોને , કયારે કેટલા પ્રમાણ માં આપવું એ નિયતિ નાં હાથ ની વાત છે……. નહિ તો આ દુનિયા માં બધા જ લોકો સીકંદરો, નેપોલીઅનો, શીવાજીઓ હોત……

            Like

            1. બાવાઓનો ભગવાન પણ અજબ નાટકીયો છે. ભારતને આઝાદ કરવા માટે એને ગુલામ બનાવ્યું, પછી વિશ્વયુદ્ધ કરાવ્યું, પછી ચર્ચીલને હરાવ્યો, વાહ રે તારી માયા. પછી એટલીને જીતાડ્યો. અરે ભલા ભગવાન આના કરતા પહેલાથી જ આઝાદ રહેવા દેવું હતું ને??વાહ દાદા વાહ. શું ફિલોસોફી છે. પછી ટેમ્પલટન એવોર્ડ મળે જ ને?

              Liked by 1 person

              1. હવે એ તો બાવા નો ભગવાન જ કહી શકે કે તે આમ કેમ કર્યું ?……તમે જયારે પણ ભગવાન ને મળો ત્યારે આ વાત જરૂર પૂછજો.( જો ભગવાન જેવું કાઈ માનતા હોય તો )…..કારણકે ” गहना कर्मणो गति”'( भ.गीता )

                Like

        2. હા…..ખરેખર ગાંધીજી એ મફત માં જ તો ગોળી ઓ નોહતી ખાધી………..પણ ગાળો ય ખાઈ રહ્યા છે…….કારણકે એની પાછળ એમને બહુ મુલ્ય ચૂકાવું પડ્યું હતું…..એમના રાજકીય હઠાગ્રહ નું, મુસ્લિમો નાં તુસ્તીકરણ નું, અલગ પાકિસ્તાન અને બાંગ્લાદેશ નાં સર્જન નું , ૫૫ કરોડ રૂપિયા પાકિસ્તાન ને આપવાનું, ભાગલા વખતે સ્વર્ગવાસી થયેલા એ ૧ કરોડ નિર્દોષ લોકો નું, સરદાર જેવા કુશાગ્ર,મુત્સદી રાજપુરુષ ને બદલે મુર્ખ જેવા નહેરુ અને એના કુટુંબી જનો ને ૫૦ વરસ સુધી દેશ પર સાશન કરવાનું, અને લુંટવાનું, સુભાષ બાબુ જેવા મહાન નેતા ને હઠાગ્રહ અને તેજોદ્વેષ થી દુર કરવાનું, ભગતસિંહ જેવા ક્રાંતિકારી નેતા ની ફાસી નું, આવા કેટલા મુદ્દા ગણવા બેસીએ……?

          Like

  33. તમારી એક ભૂલ સુધારવા માગું છુ…આ અનુયાયી શબ્દ સ્વાધ્યાયી ઓ માટે કેમ મઠારી દેવામાં આવે છે એજ સમજાતું નથી….સ્વાધ્યાયી ઓ દરેક માટે ” કૃતિશીલ” શબ્દ વાપરે છે …ભગવાન ની , ભગવાન માટે કરવામાં આવેલી કૃતિ કરનાર એટલે કૃતિશીલ……….અનુયાયી શબ્દ તદ્દન ખોટો છે જે આજકાલ નાં વિચારવંત લેખકો સ્વાધ્યાયી ઓ ને અને પાંડુરંગ શાસ્ત્રી ને વખોડવા માં બહુ વાપરે છે…..અહી યા હું સ્વાધ્યાય પરિવાર ની વકીલાત કરવા માટે નથી બેઠો પરંતુ મેં જે જોયું છે અનુભવ્યું છે એ પરથી કહું છુ…..તમે કદાચ ગીતા વાચી હશે …એમાં કૃષ્ણ ભગવાન કહે છે …..”અપ્ચેત્સું દુરાચારો”……તું ગમે તેટલા પાપ કરીશ પણ જો તું ખરા હૃદય થી મારી પાસસે આવીશ તો હું તને અપનાવી લઈશ અને તારા બધા ગુના પણ માફ કરીશ એટલે સ્વાધ્યાયી ઓ એ ( પાંડુરંગ શાસ્ત્રી એ આપેલો પ્રયોગ ) કે તમે દરેક ગામ માં તીર્થયાત્રા કરો , લોકો ને નિસ્વાર્થ ભાવે માળો, પ્રેમ આપો , પ્રેમ લો, ભગવાન નાં બે વિચારો ની આપ લે કરો …..એ પણ કશું પણ સ્વાર્થ રાખ્યા વગર…આવી રીતે તમે કઈક કૃતિ કરી ને પછી તમે ભગવાન પાસે જાવ તો ભગવાન તમને માફ કરી દેશે….કઈ પણ કર્યા વિના કાઈ પણ કૃતિ કર્યા વિના ખાલી હાથે તમે ભગવાન પાસે જાવ તો સુ સારું લાગે…….? એમાં ભક્તિ નો બહુ મોટો વિચાર છે….અને યજ્ઞ ની બાબત માં પાંડુરંગ શાસ્ત્રી જેટલા સ્પષ્ટ છે કદાચ મને અત્યાર સુધી કોઈ પણ લાગ્યું નથી….માત્ર આવી બાલીશ વાતો કહી ને અંધ્શ્રાધા ને પ્રોત્સાહન આપવા માટે યજ્ઞ ની કલ્પના નથી….પણ એની પાછળ મુકેલી સમજણ નો પણ આપને વિચાર કરવો રહ્યો……માટે જયારે કોઈ બીન્સ્વધ્યાયી ચિટ્ઠી લાયી કઈ પણ કૃતિ કર્યા વગર ભગવાન પાસે ભલામણ ચિટ્ઠી લાયી જાય ત્યારે સુ ભગવાન એની ચિટ્ઠી સ્વીકારે ? …શું એવા લોકો ને યજ્ઞ ની વેદી માં ચિટ્ઠી નાખવાનો અધિકાર છે…..?….ખાલી લખવા ખાતર વહેમ ને પ્રોત્સાહન આપે છે એવી અતાર્કિક વાતો કહી ને કદાચ આપડે આપની બુદ્ધિ સામે પ્રશ્નાર્થ નથી મુકતા ? અને રહી વાત ઔરંગ ઝેબ ની તો તમને એના પ્રત્યે માન હશે જ કારણકે તમારા પૂર્વજો એ એની તલવાર થી બચી ને મુસલમાન બની પોતાની ઓળખ નથી ગુમાવી એટલે……અને રહી વાત પંકજ ત્રિવેદી ની તો સ્વાધ્યાય પરિવાર નો પ્રત્યેક ખરેખરો કૃતિશીલ આ હત્યા ને વખોડે છે……અને એવી કોઈ પણ બાબત ને પ્રોત્સાહન નથી આપતો જેથી કરી ને પાંડુરંગ શાસ્ત્રી, સ્વાધ્યાય પરિવાર અને પ્રભુકાર્ય ની બદનામી થાય અને આ મહાન પ્રભુકાર્ય ને આવા મુર્ખ અને અણસમજુ લોકો ને કારણે હાની પોહ્ચે…….

    Like

    1. મને ના તો ઔરંગઝેબ પ્રત્યે માન છે ના તો આઠવલેજીની વિચારધારા પ્રત્યે. બાકી ભાઈ શ્રી શિરીષ દવેના પ્રતિભાવ બાબત સો ટકા સહમત છું.

      Like

  34. “ગરીબની ભાભી” હવે ૧૧૯ કોમેન્ટે પૈસાદાર થઈ ગઈ છે ! કથા–થાક હજી કોઈને લાગ્યો જણાતો નથી. કથાકારો, બાપુઓ, ગુરુઓ, સ્વામીઓ અને બીજું ઘણું કાંઈકાંઈ – એમને અંગેની વાતોનો તંત અને અંત જેટલો લંબાય એટલો ગુંચવાડો લંબાતો જાય. જોકે આ વાતને સાવ છોડી દેવાનોય અર્થ નથી. માથું પકડીને કે માથું ન રહ્યા જેવું લાગે તો વચ્ચે શ્રીમતીનેય નાખીનેય આ સૌને અંગે ‘સત્સંગ’ કરવો ખોટો નથી.

    સૌ ભાવીકજનોને કથામાં અથાક રહેવા બદલ ધન્યવાદ !

    – ભૂ.બાપુની આ કથાના એક વાચક તરીકે, આટલી બધી કોમેન્ટો બદલ અવાચક બનેલો એવો ભાવક.

    Like

    1. શ્રી જુગલભાઈ

      મોટા માણસોની બાલીશ વાતો સાંભળી કે વાંચીને અવાચક બની જવાય તેવું છે. દીપકભાઈ ટ્રોમામાંથી બહાર આવ્યા કે નહિ??

      Like

  35. મને જોકે વહેમ અને અંધશ્રદ્ધા વિગેરેની ચર્ચામાં બહુ રસ નથી. પણ જો કોઈ કહે કે તે ભૂતમાં માનતો નથી પણ પલિત તો હોય જ છે. આવી વાતો જરા કઠે છે. આપે છેડેલી ચર્ચામાં કેટલાક ભાઇઓ દ્વારા આવી વાતો પણ કરવામાં આવી છે. એટલે જરા મારાથી લખાઈ ગયું.

    ઔરંગઝેબ પસીનાની રોટલી ખાતો હતો. અને સામ્રાજ્યના પૈસા નો એ ટ્રસ્ટી હોય તે રીતે વર્તતો હતો. આવી સ્થિતિએ પહોંચવું ઘણું મુશ્કેલ છે. સ્વેચ્છાએ ગરીબી વહોરવામાં ઐતિહાસિક યુગમાં ચાણક્ય અને મહાત્માગાંધી જેવા ગણ્યા ગાંઠ્યા છે. જોકે મારા ખ્યાલમાં આવા બે ડઝન તો હું ગણાવી શકું. પણ અબજોની વસ્તીમાં આવી વ્યક્તિઓને તે માટે શ્રેય આપવું જોઇએ.

    આપણે સમજીએ કે જેઓએ શાહજહાંની બાદશાહી માણી હોય તેમને પરબારા ઔરંગઝેબ જેવાની નીચે કામ કરવાનું આવે ત્યારે તેઓ ઔરંગઝેબને વાંકમાં લેવાની પેરવીમાં હોય જ. પોતાનો ઉલ્લુ સીધો કરવાના તાનમાં બધા અત્યાચારો ઔરંગઝેબને નામે ચડાવે તે નકારી ન શકાય. તેમના પોતાના સ્વાર્થ માટે અને ઔરંગઝેબને નુકશાન પહોંચાડવા માટૅ કુકર્મો કરે અને ઔરંગઝેબને નામે ચડાવે તે વાત પણ નકારી ન શકાય.

    વળી જે વ્યક્તિ પોતાના ધર્મના મૂલ્યોમાં માનતો હોય તે સાવ નગુણો તો ન જ હોય. મારા વાંચવામાં આવેલ કે તેણે હિન્દુ મંદિરો પણ બંધાવેલ અને એક જૈન પ્રતિનીધિ મંડળ જે અમદાવાદથી ગયેલું તેને ન્યાય પણ કરેલો. તેની દિકરી સંસ્કૃત ભણતી હતી. અને શિવાજીએ ઔરંગઝેબને પરેશાન કરેલ તો પણ તેના પૌત્ર શાહુને તેની જાગીર પાછી આપેલ. સંભાજીનો શિરચ્છેદ કરેલ પણ તે કઈ જગ્યાએ કરેલ અને અંતર્ગત શું વાત હતી તે વાત આપણે જાણતા નથી. જો ધર્મ પરિવર્તન કરે તો તેના ગુના માફ કરી દેવાની ઔરંગઝેબના સ્ટાફની ઓફર હોય તે જોકે નકારી ન શકાય. પણ ઔરંગઝેબ આવી વાતોમાં કેટલો સામેલ હશે તે વિષે કશું સચોટ કહી ન શકાય. પણ જો ૧૯૬૯ અને ૧૯૭૫-૧૯૭૭ જેવા આધુનિક યુગમાં અફવાનું બજાર (જેમાંની કેટલીક સાચી પણ હોય) ગરમ રહેતું હોય છે. પીએમઓ ઓફિસ જે પ્રધાનમંત્રીના સાંનિધ્યમાં જ હોય છે તો પણ પ્રધાન મંત્રી સાહેબ કહે છે મને ખબર નથી. અને કુલા ખંખેરવાની કોશિસ કરે છે. તો સોળમી સત્તરમી સદીમાં તો આવું બધું પૂર બહારમાં હોય જ.

    આપણા શાસ્ત્રોમાં જે કંઈ કહ્યું હોય તેને મારી મચડીને આપણને પસંદ હોય તેરીતે સાચું ઠેરવીએ નહીં તો સારું. આઠવલેજીની એક વાત મને ગમેલી કે “આપણે કર્મ કરીને સમાજની સેવા કરીએ છીએ. એટલે કે આપણું કર્મ સમાજની સેવા છે એમ સમજીને કરવું જોઇએ. અને સમાજ આપણને જીવન નિર્વાહ માટે પૈસા (પગાર) આપી આપણી સેવા કરે છે.” આ એક ઉચ્ચ વિચાર છે. અને તે મહાત્મા ગાંધીના સર્વોદયવાદ સાથે મળતો આવે છે. પણ આ જ આઠવલેજી જ્યારે વાલીના રામે કરેલા વધ માટે એમ કહે કે રાજા મૃગયા રમી શકે અને મૃગને મારી શકે. અને વાલી એ વાંદરો હતો અને વાંદરાઓ શાખા-મૃગ કહેવાય. માટે વાલીના વધમાં રામને પાપ ન લાગે એ વાત રુચીકર અને તર્કયુક્ત લાગતી નથી.

    Like

    1. શિરીષભાઈ આપની ઔરંગઝેબવાળી વાતોમાં તથ્ય તો છે જ. આટલા મોટા સામ્રાજ્યમાં એને ખબરે ના હોય અને લાભ લેવાઈ જતો હશે. એક બીજી વાત પણ મને યાદ આવે છે કે ગુરુ ગોવિંદસિંહને ઔરંગઝેબે સમાધાન કરવા માટે બોલાવ્યા હતા. ગુરુ એને મળવા નીકળી ગયેલા ત્યારે તે દક્ષિણમાં હતો. ગુરુ સાથે મુલાકાત થાય તે પહેલા એનો દેહાંત થઇ ગયેલો. વાલી વાળી વાતમાં કોઈ તર્ક જણાતો નથી. હવે મેં એકવાર મોરારીબાપુને આસ્થા ટીવી પર સાંભળેલા કહેતા હતા કે મારો રામ વાલીને ના મારે. સમથીંગ રોંગ કૈક બીજું હશે. પણ બીજું શું હશે તે કહી શક્યા નહોતા.

      Like

  36. “મૂળ ઝઘડો તો મિલકતનો જ હતો એમ માનું છું. સ્વાધ્યાય પરિવાર પર કોનો અધિકાર, એ વિખવાદનું મૂળ.” શ્રી

    દીપકભાઈ ધોળકિયા ના આ વાક્ય થી એક વાંચેલો પ્રસંગ યાદ આવીયો

    શ્રી પાંડુરંગ શાસ્ત્રી બાદ “દીદી” તરીકે સંબોધતા કોય બહેન સ્વાધ્યા પરિવાર ના સંચાલન અને વડા નિમાયા હતા.

    કોય ખબરપત્રીએ “દીદી” ને પૂછ્યું “સમ્ભ્રીયું છે કે તમે પહેરેલી કાન ની બુટ્ટીઓ એક એક કરોડ રૂપિયા ની છે?”

    દીદી જવાબ આપતા તડૂક્યા, “આવો પર્શ્ન પૂછવાનો તમને કોય અધિકાર નથી”

    ખબરપત્રી એ પ્રતીઉત્ત્ર માં કહયું ” આતો તમ્નેજ પુછુ છું માધુરી દિક્ષિતે પહેરીયા હોત તો, તેને આવો પ્રશ્ન ના પૂછ્યો

    હોત!”

    Excellent exchange of views by all. In my personal views from a broad perspective Shir Pandurang Shastri’s activities helped social integration.

    Liked by 1 person

    1. હહાહાહાહાહાહ….કેટલો મુર્ખ , બાલીશ અને કામ વગર નો કોઈ સસ્તા સમાચાર પત્ર નો પત્રકાર હશે…….જે આવી મુર્ખામી ભરેલી વાત કારતો હશે……કારણકે દીદી જે પરિવાર માં પરણ્યા છે તે પરિવાર એટલે તલવલકર પરિવાર …મુંબઈ માં અત્યંત ધનાઢ્ય અને સમૃદ્ધ પરિવાર માં જેમની ગણના થાય છે તે …જેમના વિષે એવું કહેવાય છે કે સાત પેઢી થી લક્ષ્મી ની એ પરિવાર ઉપ્પર અવિચલ કૃપા રહી છે…..એક નાનકડું ઉદાહરણ આપું……..એ પરથી ખ્યાલ આવશે…….દીદીજી નાં સાસુ માં ભારત આઝાદ થયું ત્યારે પોતાના પૈસે વિશ્વ ની ૩ વાર યાત્રા કરી આવેલા…એટલી અઢળક સમૃદ્ધિ છે એમની પાસે…. ( સરકારી કે સ્વાધ્યાય પરિવાર નાં ખર્ચે નહિ ) ….જે લોકો રોજ ચાંદી ની થાળી માં જમતા હોય…જે પરિવાર માં ૧૭ ડોકટરો હોય અને અને જેમાં પતિ નો કરોડો નો વર્ષો થી પોતાના બાપ દાદા નો ધીકતો ધંધો હોય એ એક કરોડ શું દસ કરોડ ની બુટ્ટી પહેરી શકે……..એમાં એ પોતાના પરિવાર ની અંગત માહિતી કોઈ ને થોડી આપે???????????????…અને એ જાની ને એને કામ પણ શું છે?????????????….ખાનખોદીયો..પત્રકાર …….( કદાચ એ એ પૂછવા માગતો હોય કે આ તમે સ્વાધ્યાય પરિવાર નાં પૈસા માંથી તો નથી ખરીદી ને?????????????..)

      Like

  37. સ્વાધ્યાય પરિવાર અંગે ઘણી ચર્ચા ચાલી. પણ અગત્યના મુદ્દાનો ઉલ્લેખ જ ના થયો. મારી દૃષ્ટિથી તે પ્રવૃત્તિમાં થયેલી કહેવાતી ગેર રીતિઓ વિશેના આક્ષેપો સાચા છે કે ખોટા તે મહત્વનું નથી. તે બધા આક્ષેપો ખોટા હોય તો પણ મારો વાંધો સૈદ્ધાંતિક છે.

    સારું કામ કરવા માટે ધર્મ વચ્ચે લાવવાની જરૂર નથી.
    ભક્તિ એટલે જીવાત્મા રૂપી પત્નીનો પરમાત્મા રૂપી પતિ માટેનો ઉત્કટ પ્રેમભાવ. તે જાહેરમાં અને સમુહમાં થઇ જ ના શકે. તેની કાંઈ ‘ફેરી’ કરવાની ના હોય.
    બધા ઋષિ મુનિઓના બધા કૃત્યોને વ્યાજબી ઠરાવવાની જરૂર નથી. જેમ કે વસિષ્ઠની પ્રસંશા કરતી વખતે જે વિશ્વામિત્રના દુષ્કૃત્યોના વર્ણન કરેલા તે વિશ્વામિત્રની પ્રસંશા કરવી ના જોઈએ. (જુઓ તેમના પ્રવચનોનો સંગ્રહ ‘શ્રાદ્ધ ભાગ ૧ અને ૨’)
    વિશ્વામિત્રનું સ્ખલન (મેનકા સાથે) થયું જ નહોતું એમ કહ્યું. તો જે મહાન રાજાના નામ પરથી આ દેશનું નામ ‘ભારત’ પડ્યું તે ભારતના માતામહ કોણ હતા? બહુજનસ્વીકૃત ઐતિહાસિક બનાવોને નકારાવાથી ‘ભારતીય’ સંસ્કૃતિનું મહત્વ વધતું નથી.

    મનગમતા બધા જ પાત્રોના બધાજ કૃત્યોના બચાવ કરવાનું અનિવાર્ય નથી. જેમ કે કુંતીના ‘મંત્રપુત્રો’ વિષે ‘જાગતિક જરૂરિયાતનો નિયમ’ ઉપજાવી કાઢવાનું આવશ્યક નહોતું.
    સંસ્કૃત ને વધુ પડતું મહત્વ આપ્યું. કેટલાક ‘કૃતીશીલો’ શ્લોકોના ખોટા ઉચ્ચાર કર્યે રાખે છે. દા.ત અન્ન ને બદલે અન્ય, અરુંધતી ને બદલે અરુધંતી. અંતર્યામી પરમેશ્વરને બધી ભાષાઓ આવડે છે અને ભાષા વગર પણ ભક્તના મનના ભાવ જાણી લે છે. તો પછી કોઈ એક ભાષા માટે દુરાગ્રહ શા માટે?

    આમ ભારતીય સંસ્કૃતિના વધારે પડતા વખાણ અને તેના કેટલાક અંગોના ખોટા બચાવ કરવાથી તેને માટેનું ગૌરવ મિથ્યાભિમાનમાં ફેરવાઈ ગયું છે. જો કે બીજા ધર્મ પ્રચારકોએ પણ આમાં ફાળો આપ્યો છે.

    Like

    1. રશ્મિકાન્તભાઈ,
      તમારી વાત તો સીધી ખોપરીની છે!
      શિરીષભાઈનું ઔરંગઝેબ વિશેનું પૃથક્કરણ સાચું છે. તેમાં પણ જે કઈં ખોટું થયું તે એના અધિકારીઓએ એના નામે ચડાવી દીધું હોય એ તર્ક નવો અને પ્રતીતિકર છે. વ્યક્તિગત રીતે એ સાદો મા્ણસ હતો અને કુરાનની નકલો લખીને કે ટોપીઓ સીવીને પોતાનો અંગત ખર્ચ ચલાવતો હતો.આ રીતે એને ‘બેનિફિટ ઑફ ડાઉટ’ આપી શકાય છે. આમ છતાં, એ માત્ર વ્યક્તિ નહોતો, શહેનશાહ પણ હતો એટલે એનો પ્રભાવ સમાજના જીવન ઉપર પડતો હતો એટલે એના સાર્વજનિક પાસાનો અભ્યાસ પણ થવો જોઇએ. એમાં ઘણાં નકારાત્મક પાસાં પણ હતાં, જેમ કે,બધા સંતો બીજા બધાને પોતાનાથી ઊતરતા માને છે તેમ એ પણ પોતાની વ્યક્તિગત પ્રામાણિક્તા બાબતમાં એટલો દૃઢ હતો કે બીજા દરેક જણને એ નકારી કાઢતો. ધર્મચુસ્ત હોવા છતાં એની ધર્મ વિશેની સમજ બહુ સંકુચિત હતી.
      પાંડુરંગ શાસ્ત્રીની બાબતમાં પણ એવું જ છે. એમની સામાજિક અસરનો સરવાળો શું રહ્યો તે એમના ‘કૃતિશીલો’નાં કરતૂતો પરથી આંકી શકાય. એ પોતાના અનુયાયીઓને પણ સુધારી ન શક્યા તો સમાજને એમનું ચિંતન શી રીતે કામ આવે?

      Like

      1. (”પાંડુરંગ શાસ્ત્રીની બાબતમાં પણ એવું જ છે. એમની સામાજિક અસરનો સરવાળો શું રહ્યો તે એમના ‘કૃતિશીલો’નાં કરતૂતો પરથી આંકી શકાય. એ પોતાના અનુયાયીઓને પણ સુધારી ન શક્યા તો સમાજને એમનું ચિંતન શી રીતે કામ આવે?”)

        પાંડુરંગ શાસ્ત્રી એ કાઈ પૃથ્વી પરના માણસો ને સુધારવાનો કાઈ ઠેકો નથી લયી રાખ્યો……કારણકે એ પોતે સુધરેલા છે અને બાકી આખું જગત બગડ્યું છે એવો એ દાવો પણ નથી કરતા…હવે એ માણસ ઉપ્પર નિર્ભર કરે છે કે એને કેવા બનવું છે……કોઈ તમને વિચાર આપે, દ્રષ્ટી આપે ……………….પણ તમે કાઈ પણ ઊંધું ચત્તું કરો એમાં વિચાર કે દ્રષ્ટી આપનાર નો વાંક નથી…આખરે ગીતા માં ભવાને કહ્યું છે ”ઉધારેતાત્માં આત્માંનામ” તારે તારો ઉદ્ધાર તારે તારી જાતે કરવાનો છે એ માટે કોઈ બાવો ,સંત કે પાંડુરંગ શાસ્ત્રી નહિ આવે….. …..અને તમે કાઈ મોટા સમાજશાસ્ત્રી કે સમાજશાસ્ત્ર નાં અભ્યાસુ તો નથી જ કે જેઓ એમની કરેલી સામાજિક ચળવળ ની અસર વિષે જણાવો છો……અને એમને કરેલા ચિંતન ની સમાજ ઉપ્પર અસર શું હશે એ સમય જ કહેશે……..સમય ને સમય નું કામ કરવા દો…..અને એ કોઈ પણ પૃથ્વી પરનો મહાપુરુષ કરી શક્યો નથી……..અને આ ” સુધારવાનું ” કામ તો રામ, કૃષ્ણ, કે શંકરાચાર્ય પણ નોહતા કરી શક્યા એમની હયાતી માં પણ…….પછી એ વાત યાદવાસ્થળી હોય, સીતાત્યાગ, ની હોય કે પછી એમના જ શિષ્ય દ્વારા કાચ પીવડાવી ને મારી નાખવાની વાત હોય….

        Like

          1. ખાલી ”સુધારવાની ” વાતો જ નથી કરી…કૃતિ પણ કરી છે ..સમાજ ને બદલવાનો સફળ પ્રયાસ પણ કર્યો છે….અને હું ભાર દાયી ને હજુ પણ કહું છુ સુધારવાની નહિ પણ બદલવાની જરૂર છે…

            Like

    2. (સારું કામ કરવા માટે ધર્મ વચ્ચે લાવવાની જરૂર નથી.
      ભક્તિ એટલે જીવાત્મા રૂપી પત્નીનો પરમાત્મા રૂપી પતિ માટેનો ઉત્કટ પ્રેમભાવ. તે જાહેરમાં અને સમુહમાં થઇ જ ના શકે. તેની કાંઈ ‘ફેરી’ કરવાની ના હોય.) એમ તો હું કહીશ કે તમારો અભ્યાસ બહુ કાચો છે અને તમારી અંદર અવલોકન દ્રષ્ટી જ નથી…..અર્જુને મહાભારત ના યુદ્ધમાં કરેલું કામ શું હતું..? અને તમે એને કયા સંદર્ભ માં મુલાવ્સો ?…..ખ્રિસ્તી મિશનરી ઓ એ માણસખાઉં અફ્રીકાન વાચ્ચે જઈ ને ખ્રિસ્તી ધર્મ નો પાયો નાખ્યો એને તમે શું કહેશો….? અને !!!!!!!!સારું કામ એટલે શું એ તમે અમને જણાવશો….? સારા કામ ની વ્યાખ્યા શું થાય એ કહ્સો..?અને કાઈ પણ સ્વાર્થ વગર , બક્ષિશ વગર કે કાઈ પણ મળતર વગર સારું કામ થયી શકે એવું એક પણ ઉદાહરણ જણાવશો..? અમે તમારા બહુ આભારી રહીશું……

      અને રહી વાત ઋષિ ઓ નાં ઈતિહાસ ની

      તો તમેજ કાઈ આવા ”ઈતિહાસ ” ઉપ્પર સંશોધન રજુ કરી ને કેમ નથી કહેતા…?જેમ આપના શિરીષભાઈ કહે છે તેમ… તમે લખો અને શોધો તો ખરા અમે તમારું માનીશું…….દાદાજી અમને કહેલું જ છે કે ઈતિહાસ માં સંશોધન ને અવકાશ છે…..અને એ સંશોધન બુદ્ધિ ની કસોટી માં થી ખરું ઉતરશે તો એને ના માનવા માં અમને જરા પણ તકલીફ નહિ પડે..અને એવું નાં માનવા જેટલા નગુણા અમે નથી જ……અમે એને ખુશી ખુશી વધ્વીશું અને કહીશું દાદા તમે ખોટા છો…..અને એ દાદા ને પણ અને અમને પણ બહુ સારું લાગશે……..અને એમાં તમારા જેવા ઈતિહાસ કારો કઈક પ્રદાન આપશે તો આ સમાજ પર અને દરેક સ્વાધ્યાયી ઉપ્પર ઘણો ઉપકાર થશે ……અને એવું કાઈ કરી શકો તો ઘણું સારું!!!!!!!!!!!!!!!!

      (સંસ્કૃત ને વધુ પડતું મહત્વ આપ્યું. કેટલાક ‘કૃતીશીલો’ શ્લોકોના ખોટા ઉચ્ચાર કર્યે રાખે છે. દા.ત અન્ન ને બદલે અન્ય, અરુંધતી ને બદલે અરુધંતી. અંતર્યામી પરમેશ્વરને બધી ભાષાઓ આવડે છે અને ભાષા વગર પણ ભક્તના મનના ભાવ જાણી લે છે. તો પછી કોઈ એક ભાષા માટે દુરાગ્રહ શા માટે?)

      અને રહી વાત સંસ્કૃત ની ..તો આજ નાં આ અંગ્રેજી જમાના માં મરણપથારી એ પડેલી એ શ્રીમંત અને દેવ ભાષા ને કોઈ પાણી પાતું હોય એમાં ખોટું શું છે? અરે ખોટા તો ખોટા પણ એ બોલે તો છે ….અને તમે જ કહ્યું ભગવાન ભાષા વગર મન નાં ભાવ જાની લે છે …તો પછી એ ખોટા ઉચ્ચારો કરતો હશે પણ મન નો ભાવ હશે તો શું ભગવાન જાને નહિ….તમે તમારા નાના નાના છોકરા કે છોકરી કાલી ઘેલી ભાષા માં તમારી સાથે વાત કરતા હતા ત્યારે સુ તમે એની વ્યાકરણ ની ભૂલો સુધારતા હતા?…અને ભગવાન સાથે બોલવાના બહાને એ સંસ્કૃત તો વાંચે છે……આજ સુધી કોઈએ અમને સંસ્કૃત નાં શ્લોકો શીખવાડવાનો કોઈ એ જરા અમથો પણ પ્રયત્ન કર્યો….? …એક બાજુ તમે કહો છો કે ખોટા ઉચ્ચાર કરે છે અને એક બાજુ તમે કહો છો કે ભાષા નો દુરાગ્રહ શા માટે?અને ભાઈ એ વાત ની અમને બધાને પાકી ખબર છે કે ભગવાન ને ઘણી બધી ભાષા આવડે છે પણ એને જે કહ્યું છેને અને એને જે કહેવું હતું તે બધું ખાલી સંસ્કૃત માં જ છે….એના સિવાય બીજી કોઈ ભાષા માં હોય એની અમને જાન નથી……

      Like

      1. ભાષાને પણ સર્વાઈવલનો નિયમ લાગે છે. ભાષા કમજોર પડતી જાય તેમ મરતી જાય છે. સંસ્કૃત સારી ભાષા છે, પણ કેમ ચાલી નહિ??બધું રીસર્ચ સંસ્કૃતમાં થયું હોત તો આજે જીવતી હોત.

        Like

        1. બિલકુલ ખરી વાત છે …એ માટે સ્થાનિક બોલી, લોકો ની ભાષા પ્રત્યે ની ઉપેક્ષા, પંડિતો નું અકુર્તુત્વ, એમ ઘણા ફેક્ટર ભાગ ભજવે છે……એ માટે ઘણું ઘણું લખી શકાય પણ સ્થાન નાં અભાવે લખી શકતો નથી…

          Like

  38. પોતાના અનુયાયીઓને સુધારવામાં ગાંધીજી અને ‘કૃતીશીલો’ને સુધારવામાં દાદા અંશત: જ સફળ રહ્યા તેનું કારણ મુખ્યત્વે તો એ છે કે આપણે ‘અસુધાર્ય’ (Incorrigible) માનવજાત છીએ. તેથી જ તો ઈશ્વરને વારંવાર સંતો અને સમાજસુધારકોને મોકલ્યા કરવા પડે છે. પણ ગૌણ કારણ એ પણ ખરું કે તેમણે જરૂરી સદગુણો સાથે બિનજરૂરી ગુણો પર પણ ભાર મુક્યો જેમ કે ગાંધીજીએ બ્રહ્મચર્ય અને દાદાએ સંસ્કૃતને વધુ પડતું મહત્વ આપ્યું. વળી દાદાએ તો બીબાઢાળ ભક્તો પેદા કરવા પ્રયત્ન કર્યા જે વૈવિધ્યપ્રિય પરમેશ્વરને પસંદ નથી.

    Like

    1. બધા કેટલા સુધર્યા છે તે દુનિયા જાણે જ છે. બીબાંઢાળ ઘેટાં પેદા કરવાનો ધંધો માત્ર છે. યોગેશ્વર કૃષિ યોજના શરુ કરી તેમાં જે ખેડૂતો જોડાયા હોય તેમના ખેતરમાં કામ કરવા જે મજુરો આવે તેમને ખેતરને મંદિર સમજી જુતા પહેરવાની મનાઈ. હવે જૂતિયા પહેર્યા વગર ધોમધખતા તાપમાં સળગતા પગે કામ કરવાનું. દાદા પોતે ખેતરમાં ઉઘાડાપગે કામ કરે તો ખબર પડે ને? આવા તર્ક વગરના નિયમો. પોથી પંડિતોની આવી જમાતે દેશને સાવ પાયમાલ કરી નાખ્યો છે.

      Like

      1. પ્રિય ભુપેન્દ્રસિંહ બાપુ તમે તમારી આંખો પરથી પૂર્વગ્રહ નાં ચશ્માં ઉતારસો તો સારું રહેશે…..તમે કાઈ પણ સમજ્યા વગર કે અભ્યાસ વગર આડેધડ દે ઠોક કરો એ નાં ચાલે……બીબાઢાળ ઘેટા પેદા કરવાનો ધંધો માત્ર છે ??????? વાચી ને ખરેખર હસવું આવે છે……એટલે તમે એમ માનો છો કે બધે બીબાઢાળ ઘેટા ઓ જ છે એનાથી વિશેષ કાઈ જ નહિ…તો તમે કોઈ સિહ ઉભો કરી દેખાડો….( અલબત તમે ખોટા છો એવો કહેવાનો મારો અભિપ્રાય નથી….તમે સાચા છો એમ પણ હું નથી કહેતો. ………ખરેખર એમાંના ઘણા બીબાઢાળ ઘેટા હશે અને એ ઘેટા જ રહશે …અને બાકી રહ્યા તે એમની સિહ બનવાની પ્રક્રિયા ચાલુ જ હશે …..હવે એ સિહો એ નક્કી કરવાનું છે કે મારે બીબાઢાળ ઘેટું જ રહેવું છે કે પછી ત્રાડ નાખતો સિહ થવું છે…એ એના હાથ ની અને સમજણ ની વાત છે…બાકી પરમેશ્વરે બધા ” માણસો” જ બનાવ્યા છે….) અને રહી વાત ”યોગેશ્વર કૃષિ યોજના” ની વાત તો એ કોઈ યોગેશ્વર કૃષિ એ કોઈ સરકાર પુરસ્કૃત સરકારી ” યોજના ” નથી…..એ બહુ મોટો અપૂરુશેય લક્ષ્મી નો ક્રાંતિકારી પ્રયોગ છે ……જેને વિશ્વ માં માન્ય એવા ” સ્કોલર” ધોળિયા ઓ એ પણ નોંધ કરી છે ..એ વાત કાળા ભારતીયો ને ખબર નથી..અને એટલે જ એનો અભ્યાસ કરવા અને એના ઉપ્પર સંશોધન કરવા વિશ્વની મોટી ગણાતી યુનિવર્સીટી માંથી ભણેલા ગણેલા લોકો આવે છે……….ગરીબી અને ભૂખમરો (poverty and hunger ) એ સમસ્યા ઉપ્પર યુનેસ્કો એ જયારે વિશ્વ પરિષદ નું આયોજન કર્યું ત્યારે આ ”યોગેશ્વર કૃષિ” નાં પ્રયોગ ને રજુ કર્યો ત્યારે વિશ્વ નાં બધા દેશો ને સુખદ આચકો લાગ્યો હતો અને એમને પ્રશ્ન કરેલો કે શું આ આખા દુનિયા માં શક્ય છે ?……અને લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસ અને ઇન્ડિયન સિવિલ સેર્વીસીસ માં એના ”સ્પેશિઅલ ” અભ્યાસક્રમો ભણવામાં આવે છે…….એટલે હવે આ વિષે લખવું વધુ પડતું હશે…..અને ”ધોમધખતા તાપ માં સળગતા પગે અને ઉઘાડા પગે કામ કરવાનું” એ ક્યાંથી તમે જાની લાવ્યા એ ખબર નથી..કોઈ મહા મુરખો જ હશે જે આવી રીતે કામ કરતો હશે….બાકી એટલા વરસો થી અમે જયીએ છીએ ..પણ અમારી જાણ માં આ નથી…..અને રહી વાત દાદા ની …..( દાદા પોતે ખેતર માં ઉઘાડા પગે કામ કરે તો ખબર પડે ને…?) દાદા ને ખબર પાડી ને શું કામ છે કે જે દાદા એ વર્ષો સુધી પોતાના પૈતૃક ગામ ”રોહા” માં પૂર્વજો ની એકરો ને એકરો જમીન ઉપ્પર ધોમ ધખતા તાપ માં બળદો ને લાયી ને ચોખા ની ખેતી કરી હોય એ ”પોથી પંડિત??????????? ”આવા બેવકૂફી ભર્યા નિયમો નાં આપે….અને વિશ્વ આવા ”પોથી પંડિત” નું રેમન મેગસાસે અને જોહન તેમ્પલ્તન ( નોબેલ સમકક્ષ ) અવાર્ડો થી સમ્માન કરે એ જ મોટી નવાઈ ની વાત છે…

        Like

        1. પ્રિય રાહુલભાઈ,

          સામાન્ય કૃષિ કરતાં યોગેશ્વર કૃષિ શી રીતે જુદી પડે છે (અથવા પડતી હતી)?

          એનાથી ખેતમજૂરોને શો લાભ થયો?

          જમીનને શો લાભ થયો?

          આ પ્રોજેક્ટનો કોઈ સ્વતંત્ર રિપોર્ટ હોય તો લિંક આપવા વિનંતિ છે.

          તમે એનાં કોણે વખાણ કર્યાં છે તે તો કહ્યું પણ યોગેશ્વર ખેતી એટલે શું તે સમજાવ્યું નથી. આ માત્ર સમજવા માટે છે. ગુસ્સે ન થશો.

          Like

            1. ભુપેન્દ્રભાઈ તમે જયારે કાઈ પણ સારું જોવા કે સંભાળવાની ની ઈચ્છા જ રાખતા નથી ………તમે સ્વાધ્યાય કાર્ય અને દાદજી વિષે પૂર્વગ્રહ જ બાંધી દીધો છે ત્યારે shu કહેવું…????????????તમે વાત ની મૂળ માં જ જવા માગતા નથી ..કે પછી સમજો છો પણ નાં સમજવાનો ડોળ કરો છો….જો દાદા ને બેંક બલેન્સ જ તગડું કરવું હોત તો બીજા સંપ્રદાય નાં મહારાજો ની જેમ બીલ ની પાવતી ઓ લાયી ને ઘેર ઘેર દાન માગવા (ભીખ માગવા) સ્વાધ્યાયી ઓ ને નાં મોકલ્યા હોત ??????????????????????????? દરેક સ્વાધ્યાયી ને ”આટલું દાન તો આપવું જ પડશે” એવી ફરજ નાં પડી હોત…….તમે કોઈ પણ સ્વાધ્યાયી ને પૂછો કે દાદા જી એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એક પણ રૂપીઓ આજ દિન સુધી તમારી પાસે માગ્યો છે??????????? મને આજે ૨૫ વરસ થયા પણ મેં સ્વાધ્યાય કાર્ય માં એક પણ રૂપીઓ કોઈ પણ સ્વરૂપે આપ્યો નથી…..અને નાં હું ભવિષ્ય માં આપીશ….તમે આ વાત ક્યાંથી જાની લાવ્યા કે દાદાજી ને બેંક બલાન્ચે તગડું કરવું હતું..? જો એમ જ હોત તો બ્રિટન ની અત્યંત ધનાઢ્ય જાજરમાન મહિલા મિસ્સ સ્ટેલા લાખો પાઉન્ડ ની સંપતિ દાદાજી નાં નામે મૂકી નાં ગયા હોત….અને દાદાજી એ એ બધી સંપતિ ટ્રસ્ટ બનાવી ને બ્રિટન ની ખ્રિસ્તી મિશનરી ઓ ને સોપી નાં હોત…બધા પૈસા ખાઈ ગયા હોત..અને જીંદગી ભર બે રૂમ રસોડા ની મુંબઈ ની ગીરગાવ ની ચાલી માં નાં રહ્યા હોત…..પૈસા કમાવા અને બેંક બલેન્સ તગડું કરવા માટે બીજા ઘણા રસ્તા હતા…પણ હું શા માટે તમને આવા ખુલાસા કરું છુ એ જ મને ખુદ ને સમજ પડતી નથી ..કારણકે ખુલાસા એને કરાય કે જે ખરેખર કાઈ જાણવા માગતો હોય….પણ મને માફ કરો જો હું કાઈ આડું અવળું બોલ્યો હોય…..

              Like

          1. દીપકભાઈ તમારો ઘણો આભાર કે તમે યોગેશ્વર કૃષિ માં રસ દેખાડ્યો….એ માટે દાદાજી ને પ્રયોગ ને લગતા ઘણા પુસ્તકો છે અને પ્રવચનો માં ઘણી સ્પષ્ટ વાતો કરેલી છે…તમે જો પ્રત્યક્ષ જયી ને પ્રયોગ વિષે માહિતી લો કોઈ સ્વાધ્યાયી કૃતિશીલ ને લાયી ને કે જે યોગેશ્વર કૃષિ માં જતો હોય એ વધારે સારી સમજ આપી શકે…સ્થાન નાં અભાવે હું બહુ લખતો નથી….

            Like

            1. ભાઈ રાહુલભાઈ,
              પુસ્તકોમાં તો સૈદ્ધાન્તિક વાતો મળશે. એ તો વાંચવા મળી જ જશે. પરંતુ આજે વ્યહવારમાં યોગેશ્વર ખેતી ક્યાં થાય છે અને એની અસરો શું છે તેના વિશે જાણવું છે. શ્રી આઠવલેજીના અવસાન પછી આ પ્રયોગનું નામ પણ સાંભળવા નથી મળતું. હવે માત્ર પંકજ ત્રિવેદીના ખૂનની જ વાતો સંભળાય છે. કચ્છમાં અમારા બૃહદ સગાસંબંધીઓમાં એક આખો પરિવાર સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે જોડાયેલો હતો એટલે ઘણી વાતો જાણું પણ છું. આ પરિવારને આજે સ્વાધ્યાય સાથે કશો સંબંધ નથી રહ્યો. જેમને સ્વાધ્યાયીઓ છોટે શાસ્ત્રીજી કહેતા તે હરિરામ કોઠારી ક્યાં છે?
              ફરીથી વિનંતિ કરૂં છું કે મને યોગેશ્વર ખેતી વિશે માહિતી આપશો. કારણ કે ખાલી નિંદા-પ્રશંસામાં નહીં વળે. નક્કર પરિનામો અને તથ્યો દલીલની સીમાની બહાર હશે અને એમાં આપને સૌ સમ્મત થશું> બરાબર? એટલે તમે યોગેશ્વર ખેતી વિશે ન જાણતા હો તો માહિતી એકઠી કરવાની કોશિશ કરશો.

              Like

          2. અને દીપક ભાઈ રહી વાત ગુસ્સે થવાની ..તો હું જરા પણ ગુસ્સે નથી..અને એમ થવાનું કોઈ કારણ પણ નથી ……પણ કોઈ વ્યક્તિ સ્વાધ્યાય પરિવાર કે દાદાજી ઉપ્પર સમજ્યા વગર કે એને જયારે જાણ્યા વગર ફક્ત આરોપો જ કરે રાખે તો દુખ જરૂર થાય છે ..અને એટલા માટે મારી શક્તિ અને સમજ મુજબ હું કારણ મીમાંસા કરું છુ…અને જો હું આમ નાં કરું તો ભુપેન્દ્રભાઈ ને મજા પણ નાં આવે …અને એમનું લખેલું વ્યર્થ જાય છે એવી એમને લાગણી થાય જ્યારે કોઈ વાચન શુરા ઓ એમના લખેલા લેખ ઉપ્પર પ્રતિભાવો આપ્યા વગર ખાલી વાચી ને જતા રહે……

            Like

          1. ભુપેન્દ્ર સિંહ બાપુ આજના સમાજ માંથી હજી પણ આ પ્રશ્ન ઘણા ને મૂંઝવે છે…અને એ વાત ને લયી ને સ્વાધ્યાય પરિવાર ઉપ્પર ઘણા આરોપો પણ થયા છે…સ્વાધ્યાય પરિવાર ની ટીકા પણ થયી છે..અને સ્વાધ્યાય પરિવાર ની આબરૂ પર કીચડ પણ લાગેલું છે…..અમારા માના જ ભયી ઓ આવું જઘન્ય કૃત્ય કરે એ હજી પણ અમારા માનવા માં નથી આવતું અને માટે ખરા અર્થ માં જેને સ્વાધ્યાય કાર્ય પચાવ્યું છે એ ભયી ઓ ને એ વાત નું ખરા હૃદય થી દુખ છે…કારણકે પંકજભાઈ ત્રિવેદી અમારા માના જ એક ભયી હતા અને એમને સ્વાધ્યાય કાર્ય માટે ઘણો પરિશ્રમ પણ કર્યો હતો…પણ હવે એની કારણ મીમ્માસા કરવી મારા માટે શક્ય નથી કારણકે સાચું પૂછો તો એમાંની ઘણી કવર- અનકવાર વાતો હજી અમારા સુધી પોહચી નથી..બીજું સમાચાર પત્રો અને બીજા investigations શું તથ્યો બહાર લાવે છે એ સમય જ બતાવશે…. .અને એ વાત ની ઉન્ડાયી માં અમે જવા પણ નથી માગતા. પણ ભવિષ્ય માં આવી ઘટના નાં બને એની તકેદારી જરૂર રાખીશું જેથી કરી ને એક મહાપુરુષે ઉભા કરેલા દૈવી કાર્ય ને હાની નાં પોહ્ચે..

            Like

  39. We Are All Hindus Now
    Aug 14, 2009 8:00 PM EDT
    Print
    Email
    Comments (7)

    America is not a Christian nation. We are, it is true, a nation founded by Christians, and according to a 2008 survey, 76 percent of us continue to identify as Christian (still, that’s the lowest percentage in American history). Of course, we are not a Hindu—or Muslim, or Jewish, or Wiccan—nation, either. A million-plus Hindus live in the United States, a fraction of the billion who live on Earth. But recent poll data show that conceptually, at least, we are slowly becoming more like Hindus and less like traditional Christians in the ways we think about God, our selves, each other, and eternity.

    The Rig Veda, the most ancient Hindu scripture, says this: “Truth is One, but the sages speak of it by many names.” A Hindu believes there are many paths to God. Jesus is one way, the Qur’an is another, yoga practice is a third. None is better than any other; all are equal. The most traditional, conservative Christians have not been taught to think like this. They learn in Sunday school that their religion is true, and others are false. Jesus said, “I am the way, the truth, and the life. No one comes to the father except through me.”

    Americans are no longer buying it. According to a 2008 Pew Forum survey, 65 percent of us believe that “many religions can lead to eternal life”—including 37 percent of white evangelicals, the group most likely to believe that salvation is theirs alone. Also, the number of people who seek spiritual truth outside church is growing. Thirty percent of Americans call themselves “spiritual, not religious,” according to a 2009 NEWSWEEK Poll, up from 24 percent in 2005. Stephen Prothero, religion professor at Boston University, has long framed the American propensity for “the divine-deli-cafeteria religion” as “very much in the spirit of Hinduism. You’re not picking and choosing from different religions, because they’re all the same,” he says. “It isn’t about orthodoxy. It’s about whatever works. If going to yoga works, great—and if going to Catholic mass works, great. And if going to Catholic mass plus the yoga plus the Buddhist retreat works, that’s great, too.”

    Then there’s the question of what happens when you die. Christians traditionally believe that bodies and souls are sacred, that together they comprise the “self,” and that at the end of time they will be reunited in the Resurrection. You need both, in other words, and you need them forever. Hindus believe no such thing. At death, the body burns on a pyre, while the spirit—where identity resides—escapes. In reincarnation, central to Hinduism, selves come back to earth again and again in different bodies. So here is another way in which Americans are becoming more Hindu: 24 percent of Americans say they believe in reincarnation, according to a 2008 Harris poll. So agnostic are we about the ultimate fates of our bodies that we’re burning them—like Hindus—after death. More than a third of Americans now choose cremation, according to the Cremation Association of North America, up from 6 percent in 1975. “I do think the more spiritual role of religion tends to deemphasize some of the more starkly literal interpretations of the Resurrection,” agrees Diana Eck, professor of comparative religion at Harvard. So let us all say “om.”

    Like

  40. Einstein talked about Unified Theory of Fields. He could not prove it but recently based on the mathematics of Ramanujam of initial decades of last centruy, the same has been derived for all the fields.

    Shankarcharya, based on Rig-ved promoted Unified Theory of Entity.
    As per the logic of Einstein, there is nothing like field unless there is something like fundamental particle (entity of which every thing in the cosmos is made of) which has only one property. The same logic had been applied by Shankaracharya on his Adwait.

    All types of theory are open for discussion as per Hindu (more precisely to say ancient Indian philosophy) culture. Now when we call it Hindu religion, every one’s religion would be covered under Hindu religion where you will have liberty in thoughts on God, Soul and Universe, just like liberty in social science.

    Like

  41. સ્વાધ્યાય પરિવાર નાં કાર્ય અને પાંડુરંગ શાસ્ત્રી ની ટીકા કરનારા અને વખોડનારા ઘણા ” શુરવીરો” થયી ગયા અને આગળ પણ થતા રહશે……પણ જે સમજે અને લોકો એ એમને અને એમના કાર્ય ને સ્વીકાર્યું છે પ્રેમ કર્યો છે એમને ,એના થી એમના કાર્ય અને એમના પ્રત્યે નાં સમ્માનમાં કાઈ પણ ફરક નહિ પડે…..એવા કેટલાય આવશે ને જશે . who cares ??????????????? એમના વિષે માન્યતા ઓ અને ગેરમાન્યતાઓ તો રહશે..કારણકે દરેક જણ પોતપોતાની ” વિચારશક્તિ ” અવલોકનશક્તિ ” પૂર્વગ્રહ” વાપરી ને ટીકા કે પ્રશંસા કરશે જ …तुल्यनिंदा स्तुतिर्मौनी संतुस्तो एन केन चित्त…કારણકે આ જગત માં દૂધ માંથી પોરા કાઢવાની વૃત્તિ વાળા પણ લોકો હોય છે જેમનું એક જ કામ હોય છે દૂધમાંથી પોરા કાઢવાનું…પણ વાસ્તવિક રીતે તેઓ અંગત જીવન માં અને જાહેર જીવન માં કેવા હોય એ એમને આત્મમંથન કરી ને નક્કી કરવું જોઈએ…….પાંડુરંગ શાસ્ત્રી ગમે તેવા હોય ..એમની વિચારધારા ગમે તેવી હોય ……એમને આપેલા પ્રવચન ગમે તેવા હોય …એમને તય્યાર કરેલા માણસો ( માફ કરજો ” કૃતીશીલો ” ) ગમે તેવા હોય….અને એ કૃતીશીલો ની કૃતિ ઓ નું પરિણામ ગમે તેવું હોય!!!!!!!!!!!!!!!!! અને આજે પણ સમાજ માં સ્વાધ્યાય કાર્યઅને ગીતા ના વિચારો અડીખમ ઉભા છે અને ઈશ્વરે ઈચ્છ્યું તો ભવિષ્ય માં પણ ઉભા રહેશે ..અને સમાજ, ઈશ્વર અને કાળ ને એની ગરજ હશે તો રહેશે નહિ તો એ પણ કાળ ની ગર્તા માં વિલીન થયી જશે…..કારણકે આ જગત માં આખરે ધાર્યું તો ”ધણી” નું જ થાય છે ને????????????????????????

    Like

  42. ઈશ્વર તો બધે જ રહેલો છે. નિંદારસમાં પણ ઈશ્વર છે.

    ઈશ્વર કુક (રસોયો), કુકર (રસોઈ પકવનાર), કુકીંગ (રસોઈની રેસીપી), અને કુક્ડ(રસોઈ) અને ઈટર (જમનાર) છે. રામ પણ એજ છે અને રાવણ પણ એ જ છે. પ્રસંશા પણ એ જ છે નિંદા પણ એ જ છે.
    વધુ વાંચવા માટે ક્લીક કરો

    નિંદારસમાં રહેલો ઈશ્વર

    Like

  43. ગર્ભવતી પત્નીને એક લોન્ડ્રીમેનના મહેણાંથી વનમાં મોકલી દેનારાને આપણે ભગવાન કહીએ છીએ

    Like

  44. તે તો ઠીક, બીજાના વાંકે જેનું અપહરણ થયું તેની અગ્નિપરિક્ષા લીધી તે કેટલું અન્યાયી, અમાનુષી અને ઘૃણાસ્પદ હતું? જો ખરેખર બળાત્કાર થતો હોત તો તેની ભોગ બનનાર વ્યક્તિ બળી મારી હોત, બળાત્કાર કરનાર નહિ.

    Like

      1. મારે તો શ્રી રામ ના પિતા શ્રી દશરથ નું ઉદાહરણ લઇ ૩-૪ રાખવી હતી !!!!
        પણ આ વાલિયા લુંટારાએ જ સમાજ માં દાખલો બેસાડવા માં જ બધી મઝા મારી નાખી!!!!
        શ્રીમતીજી આ બ્લોગ પર આવતા નથી અને મારા ત્ખલ્લ્લુસ ની તેમને ખબર પણ નથી
        એથી કરીનેજ આ સિંહ ગર્જના (રમુજ) કરવાની હિમ્મત કરી શક્યો છું!!! હા હા હા હા આ આ આ આ !!!!

        Like

          1. ભાઈ હું Hydrologist તો નથી. અભ્યાસ / વ્યવસાય ના ક્ષેત્રે ખેતીવાડી અને પશુપાલન સાથે સંકળાએલો હતો — હવે નીવ્રૃત છું. કારકિર્દી ની શરૂવાત ના ૮-૧૦ વર્ષો પછી પાણી (જળ) ની અગત્ય ની સમજ પડી. કુવા, પંપ અને નહેરો ના પાણી ની સવલત
            છેલ્લા ૩૦-૩૫ વષો માં મળી, તે પહેલા બધું વરસાદ ના પાણી ઉપજ નભતું! વરસાદ મોડો કે ઓછો વત્તો પડે તો ખેતી માં કોઈ બરકત આવતી નહિ. મને પાણી ની કિંમત / અગત્ય બહુજ લાગી! આજે પણ નદી કિનારો, સરોવર કિનારો કે પછી સાગર તટ ની સફર
            મને અતિ મન પસંદ છે. માટે કરીને “જળ એજ જીવન” નામ રૂડુ લાગ્યું અને “NIR (નીર – પાણી) is life” અંગ્રેજી કરણ અપનાવી લીધું છે.

            Like

  45. Jay meldi maa… sir,i mind one thing…bhagvan krta maataaji jaldi prayer saambhle chhe… su kyo chho??? 😉
    i m a teacher and in my school,there are many students who r so called ‘outcaste’ but i felt that this r the only loving and caring students i met in my life. that caste based abusive language is knitten in people’s life normally…. that they have thr prediction for a person just after they listen a person’s surname… see,world… if a person is in abroad,he or she feels an indian people his or her own,when it comes to a country matter, gujarati feels another gujarati hs own, in gujarat, same city makes feel comfortable and in city,…oh,same cast…and both person would feel great… and in same caste …thr is subcaste and in subcaste… family person first and in family… own blood …own children first and then,…if a child want to do something that a person dont like…then….then….he becomes self-centered… finally… all wants security and thats why all have bound themselves in tough and stupied rules,regulations, Gods, rituals etc…but thank you very much for this wonderful information …God…GOddess 😉 bless you alwz

    Like

  46. ખુબ સરસ. આપશ્રીની વાત સાચી છે. પણ મારો એક મત એવો છે કે ગરીબમાંથી અંધશ્રદ્ધા દુર કરવી જોઈએ કારણ કે મોટા ભાગે ગરીબ, પછાત ગણાતા લોકો આવી અંધશ્રદ્ધામાં ડૂબેલા રહે છે અને એમણે જે કરવું જોઈએ એ નથી કરતા. એમની અંધશ્રદ્ધા એમના માટે નુકસાનરૂપ છે. બીજી બાજુ સુધરેલાઓ ની અંધશ્રદ્ધા તો આખા સમાજ માટે નુકસાનરૂપ છે.

    Like

Leave a reply to Raol pradipkumar R. Cancel reply