“ભગવાન એ કમજોર ભક્તોના ભેજાની કાલ્પનિક પેદાશ છે મક્કમ મનવાળા યોગીઓની નહિ.”

  “ભગવાન એ કમજોર ભક્તોના ભેજાની કાલ્પનિક  પેદાશ છે મક્કમ મનવાળા યોગીઓની નહિ.”
અગાઉના લેખમાં લખેલું ઉપરનું મારું વાક્ય શ્રી દર્શિતભાઈએ એમના ફેસબુકમાં મૂકીને એને એક નવો આયામ આપી દીધો છે.
      યોગ અને ભક્તિ વિષે ઓશોએ ખૂબ વિગતથી છણાવટ કરી છે.ભક્તિમાં એક સમર્પણ હોય છે.સંપૂર્ણ સમર્પણ.જ્યારે યોગીઓ એમના ‘હું’ ને એટલો બધો ઊંચી કક્ષાએ લઈ જ્યાં છે છેલ્લા અહં બ્રહ્માસ્મિ કહી શકે.જ્યારે ભક્તો માટે ‘તું’ મહત્વનું છે. ‘તું’ જ સર્વસ્વ છો,  ‘હું’ કશું જ નથી.માટે હું કહું છું યોગ એ મક્કમ મનવાળા લોકોના હાથની વાત છે.ભક્તિ ટોટલ સબમીશન છે.યોગ મેલ બ્રેઈનની પ્રેકટીશ છે,જ્યારે ભક્તિ ફીમેલ બ્રેઈનની.ભક્તો માટે અસહાયતા પહેલું પગથિયું છે.ભારત જ્યારે વિદેશી આક્રમણકારો વડે હાર્યું અસહાય બન્યું તો ભક્તોની ભરમાર ખૂબ વધી પડી.મુઘલ કાળમાં અગણિત ભક્તો પેદા થયા અને ભક્તિ સમ્પ્રદાયો અસ્તિત્વમાં આવ્યા.ભારત ઓર પાયમાલ થતું ગયું.નિર્બળ કે બળ રામ જેવા બકવાસ સૂત્રો પ્રચલિત થઈ ગયા.ફીમેલ  બ્રેઈન એટલે બ્રેઈનનો લાગણી વિભાગ.અને મેલ બ્રેઈન એટલે બ્રેઈનનો તર્ક અને ગણિત વિભાગ.ફીમેલ બ્રેઈન કલ્પનાઓમાં જીવતું હોય છે.એટલે ભક્તોને ભગવાન હાજરાહજૂર દેખાવા લાગે છે.ભગવાન આવીને દૂધ પી જતા હોય છે.સુરદાસ જોડે તો બાળ કૃષ્ણ રમવા પણ આવતા.એક બહુ ફેમસ ભાગવત કથાકાર બાલકૃષ્ણની કથા કરતા કરતા હંમેશા રડી પડતા.લોકો અહોભાવમાં અંજાઈ જતા.મેં પણ એમને રડતા જોયા છે.મને ખૂબ હસવું આવતું,ભલે ખૂબ નાનો હતો.પાંચ સાત હજાર વર્ષ પહેલા કોઈ મહાપુરુષ થયા હોય અને એમના બાળપણની વાતો કરતા રડી પડતા આ મહાત્માઓને કોઈ ગરીબના બાળકમાં કૃષ્ણ દેખાતો નથી,કોઈ બાળ મજૂર ચાની કીટલી પર કામ કરતો હોય તેમાં કૃષ્ણ દેખાતો નથી.અરે સ્નાન કરી લીધું હોય અને નાનકડો ભત્રીજો રડતો હોય તો તેને પણ ઊચકી લેવામાં અપવિત્ર થઈ જવાતું હોય,છોને રડતો.એવા આ ભક્તિ ઘેલા લોકોને લીધે દેશ આખાની માનસિકતા કમજોર અને કાયર બની ચૂકી છે.દેશની બ્લ્યું પ્રિન્ટ નપુંસક ચીતરવામાં આ ભક્તોનો ખૂબ મોટો હાથ છે.
  યોગ એટલે ખાલી આસનોની કસરત નથી.યમ,નિયમ,આસન,પ્રાણાયામ,પ્રત્યાહાર,ધારણા,ધ્યાન,સમાધિ એમ આઠ અંગ ભેગાં થઈને અષ્ટાંગ  યોગ કહેવાય.યોગમાં કશું કરવું પડે છે,ભક્તિમાં કશું જ નહિ કરવું ખાલી હાથ જોડી આર્તનાદ કરવા તે પૂર્ણકાલીન કર્મ છે.ખેર સ્વામી વિવેકાનંદને  કોણ નહિ જાણતું હોય અને એમના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસને?શ્રી રામકૃષ્ણ પરમહંસને મહાકાલી માતા હાજરાહજૂર હતા તેવી વાતો છે.મહાકાલી સાથે વાતો કરતા તેવું ભક્તો કહે છે.અતિશય કલ્પનાશીલ બ્રેઈન જ મૂર્તિ સાથે જીવંત હોય તેમ વાતો કરી શકે.
   હરદ્વારથી યોગીરાજ અદ્વૈતવાદી સ્વામી તોતાપુરી અહી કલકત્તા આવેલા શ્રી રામકૃષ્ણને અદ્વૈતની સાધના કરાવવા માટે.શ્રી રામકૃષ્ણ પ્રયોગશીલ હતા.જાત જાતની સાધનાઓ કરતા.પણ એમનું કલ્પનાશીલ બ્રેઈન આડે આવતું હશે.સ્વામી તોતાપુરી સફળ થતા નહોતા.અદ્વૈતની અનુભૂતિ થતી નહોતી.તોતાપુરી એક દિવસ કંટાળ્યા.એક દિવસ લાસ્ટ અલ્ટીમેટમ આપી દીધું.હવે છેલ્લો દિવસ અદ્વૈતની સાધનામાં મહાકાલી આડે આવે છે.તેને દૂર કરો.રામકૃષ્ણ કહે કઈ રીતે દૂર કરું?આ તો એમની કલ્પના જીવંત બની ચૂકી હતી.વર્ષોની સાધના પછી એક કલ્પના પણ જીવંત બની જતી હોય છે.બહુ પ્યારી કલ્પના જીવંત મહાકાલી કઈ રીતે દૂર કરવા?મહાકાલી સાથે રોજ સંવાદ ચાલતા હોય.મહાકાલી તરફથી એમનું બ્રેઈન જ જવાબ આપતું હશે,આજે હું એવું માની શકું છું.કોઈ મૂર્તિ તો બોલતી નથી.સ્વામી તોતાપુરીએ કહી દીધું કાલે સવારે ધ્યાનમાં બેસો તે વખતે કપાળમાં કાચ વડે ચીરો મૂકીશ તે જ ક્ષણે માતાનો નાશ કરી દેજે,હત્યા કરી નાખજે.પણ માતાની હત્યા કઈ રીતે કરું?શેના વડે કરું?તોતાપુરી કહે તે જે રીતે માતા ઊભી કરી છે તેમ હથિયાર પણ પેદા કર અને કલ્પનામાં માતા ઊભી કરી છે તેમ કાલ્પનિક હથિયાર વડે એમનો નાશ પણ કરી નાખ.કહેવાય છે આ સાધના સફળ રહી અને શ્રી રામકૃષ્ણ પરમહંસને નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઈ.ચાલો અધ્યાત્મ અને સમાધિ એક અલગ વિષય છે ચર્ચવા માટે.પણ મારું કહેવું છે મક્કમ મનવાળા યોગીઓ ભગવાન વગેરેમાં માનતા નહોતા.ભગવાન એ કમજોર,નિર્બળ,અસહાય,આળસુ અને દરિદ્ર ભક્તોના કાલ્પનિક મનની પેદાશ છે.
  માટે કોઈ મહાવીર કોઈ બુદ્ધ જે મક્કમ મનવાળા છે તેવા લોકો ઈશ્વરને નકારી કાઢે છે.કોઈ કૃષ્ણ જાતેજ પોતાને ઈશ્વર ઘોષિત કરી દેતા હોય છે.નરસિંહ મહેતાને કૃષ્ણની રાસલીલાના દર્શન થયેલા,મીરાંબાઈ કૃષ્ણની મૂર્તિમાં સમાઈ ગયા,વિઠોબા દૂધ પી ગયા,સુરદાસ સાથે કૃષ્ણ રમતા,ગણપતિની મૂર્તિ દૂધ પીવે,સાપની પિત્તળની મૂર્તિ પણ દૂધ પી જાય આવી તો અગણિત વાર્તાઓ આપના દેશમાં રમતી થયેલી છે,અને હજુ નવી નવી વાતો ફેલાતી જાય છે.જો કે ચોક્કસ આવું બધું બનતું જ હોય છે,પણ કલ્પનામાં.હકીકતમાં નહિ. આજે પણ જુઓ સત્ય સાઈબાબાના મદરીવેડા જોઈ લોકો અભિભૂત થઇ જતા હોય છે.પહેલેથી સંતાડી રાખેલી રાખની કેપ્સ્યુલ્સ મસળી ભસ્મ પેદા કરવી અને ભક્તોને વહેચવી,અને આવા તો બીજા અનેક ખેલમાં આ મદારી નિપુણ હતો.સામાન્યજન ધાર્મિક હોય છે,કારણ ફોલ્સ પોજીટીવ એરર કરવાની વૃત્તિ અચેતન મનમાં સમાયેલી હોય છે,એનો દુરુપયોગ આવા મદારીઓ કરતા હોય છે.
     આ જાદુગર સામાન્ય માનવીની જેમ મૃત્યુ પામ્યા.વીડીઓમાં એમની ટ્રીક દેખાઈ આવતી હોવા છતાં લોકો માની શકતા નથી હોતા.ભાઈ ચીરાગને ધન્યવાદ કે એમણે આ વિડીઓ કલીપીંગ્સ મારા બ્લોગ પર મુક્યા છે.એમાંથી બીજા કલીપીંગ્સ પણ જોયા નાળીયેરમાંથી ધુમાડા કાઢવાના.હસવું તો એ આવે છે કે કોઈ એન્જીનીયર અને કોઈ ડોક્ટરેટ કરેલા લોકો પણ આવા મદારીઓ વિષે ગર્વ અનુભવતા હોય છે.મહાન ક્રિકેટર સચિન જેવો મૂરખ જેની પત્ની પોતે ડોક્ટર છે તે પણ આ જાદુગરમાં આસ્થા રાખતો હતો.અહી ભણેલા પણ વિચારતા નથી.
      અભણને સમજાવી શકાય પણ ભણેલા અભણને કઈ રીતે સમજાવાય?

19 thoughts on ““ભગવાન એ કમજોર ભક્તોના ભેજાની કાલ્પનિક પેદાશ છે મક્કમ મનવાળા યોગીઓની નહિ.””

  1. આપની વાત સો ટકા સાચી હોવા છતાં આ દેશના લોકોને કણ જાણે કોણે ભુરકી છાંટી છે તે જ સમજાતું નથી. દિન-પ્રતિ-દિન અરે જુવાનીયાઓ પણ આવા તૂતમાં વિશ્વાસ ધરાવવા લાગે ત્યારે દયા આવે છે. વાસ્તવમાં મારા મતે તો સાધુ-સંતો-સ્વામીઓ-મહંતો અને ગુરૂઓ તો આદેશને અને લોકોને ચમત્કારો અને કથા-વાર્તાઓ કરી ગુમરાહ કરી લૂંટી રહ્યા હતા બાદમાં સ્વતંત્રતા મળ્યા બાદ શરૂઆતના 10-15 વર્ષ બાદ કરો તો જે રાજ્યકર્તાઓ શાસન ઉપર આવ્યા તેમને જો પોતાના ઘર ભરાવા હોય તો આ સાધુ જમાતની સાથે સહકાર કરી ગાંધી-વૈદનુ સહિયારું ગોઠવી લીધું. આજે આ દશની મોટા ભાગની મૂડી રાજકારણીઓ-સત્તાધીશો અને આવા કહેવાતા કે થઈ પડેલા સાધુઓ-સ્વામીઓ વગેરેમાં કેંદ્રિત થયેલી છે જ્યારે આમ આદમી બિચારો બની રોજી-રોટી મેળવવા ફાફા મારી રહ્યો છે. સત્યસાંઈ કે અન્ય કોઈ પણ સાધુ-સંત વગેરે સાથે પ્રથમ હરોળમાં રાજકારણી પ્રધાનો કે અન્ય સત્તાધીશો જ બેઠેલા જણાશે જ્યારે ખરા ભક્તો કે ભાવિકો બિચારા બની આ લોકોની સરભરા કરતા કે અવગણનાથી પીડાતા દૂર દૂર નજરે પડશે ! સત્ય સાંઈ જે કરતા તે કે લાલ પણ કરી શકતા. વળી આવી ક્રિયાઓને પડકારનારાઓનો પડકાર ક્યારે ય સત્યસાંઈએ જીલ્યો નહિ હતો ! આપની વાત સાથે હું પૂરેપૂરો શુર પુરાવું છું કે સચિન મહાન ક્રિકેટર હશે પણ મહાન મૂર્ખ પણ છે. સારું છે કે હજુ ભારત રત્નનો ઈલ્કાબ અપાયો નથી નહિ તો તે પાછૉ ખેંચવા આંદોલન કરવું પડતે !

    Like

    1. અરે હજુ તો સાઈબાબાને શ્રદ્ધાંજલિ અર્પી મહાન ગુરુ,એમના જેવા કામો કોઈએ કર્યા નથી તેવું વાંચવા મળશે.કવિતાઓ રચાશે.લેખો લખાશે.ફોટાઓ આવશે.મહાન જાદુગર,મહાન વિભૂતિ.પછી સહાનુભૂતિના પુર ઉમટશે.દરેકની આસ્થા સત્ય સાઈબાબા.

      Like

  2. અરવિન્દભાઈ અને ભુપેન્દ્રજી: આપ મારાથી ઉંમરમાં મોટા છો. એટલે વધુ લખું તો માફ કરશો.

    એક ઉદાહરણ:
    તમે લોજીકલ છો અને અંધશ્રદ્ધાળુ નથી. તમારા મમ્મી (માં) વિષે લાગણી રાખતા હશો.
    ધારોકે તમને કોઈ દુ:ખ પડે કે મૂંઝાઈ ગયા હો અને સલાહ જોઇતી હોય. અને, તમારી મમ્મી તમારા માટે માનતા માને, ધાગો પહેરાવે અને તમને તમારા માંનાં બે શબ્દો સાંભળવાથી સાંત્વના મળે
    તમે દોરા/માનતા માં ના માનતા હો પણ માંનું દિલ રાખવા તમે બધું કરો. તો તમે મૂરખ બની ગયા?

    શું સચિનનાં સત્યસાંઈબાબા નાં દર્શન કરવાથી એ મુર્ખ બની જાય?
    માની લો કે સચિનને સત્યસાંઈબાબાએ કોઈ રીતે મદદ કરી હોય, તો સચિન માટે એ માનનીય ન હોય? (પછી ભલેને આખી દુનિયા બાબાને પાખંડી માને).

    “સચિન મહાન ક્રિકેટર હશે પણ મહાન મૂર્ખ પણ છે. સારું છે કે હજુ ભારત રત્નનો ઈલ્કાબ અપાયો નથી નહિ તો તે પાછૉ ખેંચવા આંદોલન કરવું પડતે !” – આ એક કટ્ટરવાદ છે.
    જો ભારત રત્ન કઈ વસ્તુ માટે અપાય તો તે ક્રિકેટ હશે અને બીજું કઈ જ નહિ.

    નોંધ: હું બાબા વિષે જાણતો નથી અને એમનો ભક્ત પણ નથી. મને દુ:ખ થાય છે જ્યારે લોકો લોજીકલ હોવા છતાં આવી વાતો લખી શકે છે.

    Like

    1. જે તે બાબત પુરતો મૂર્ખ બની જાય.રમવાની બાબતમાં નિપુણ.હું પોતે કોમ્પ્યુટર વાપરવાની બાબતમાં અજ્ઞાન છું.મતલબ મને ખાસ ફાવતું નથી અજ્ઞાનતા બીજું શું?સચિન ખાલી દર્શન કરવા નથી જતો.એમનો ખાસ ભક્ત છે.પણ એકલા સચિનને દોષ દેવો નકામો છે.ભણેલા ગણેલા ડોક્ટર્સ,એન્જીનીયર્સ બધા એમના જાદુને સમજી શકતા નથી તો સચિનને એકલાને શું કહેવું? માતુશ્રીને સમજાવી શકાય કે આ બધું નકામું છે.એમનું રીસ્પેક્ટ રાખીને સાચી વાત કેમ ના સમજાવી શકાય?

      Like

  3. Good Article.

    થોડું ઉમેરું છું. (જૈનો માટે પણ)
    માટે કોઈ મહાવીર કોઈ બુદ્ધ જે મક્કમ મનવાળા છે તેવા લોકો ઈશ્વરને નકારી કાઢે છે.


    અને એ લોકો કહે છે કે જીવ માત્રમાં ભગવાન છે.

    ‘વાવો તેવું લણો’, એ સિવાય બીજું કશું સાચું નથી.
    ‘જીવો અને જીવવા દો’. માત્ર કાયાથી જ નહિ, પણ મન અને વચનથી પણ કોઈને દુ:ખ ના થાય તેમ સજાગતાથી જીવવું એવું સૌપ્રથમ મહાવીર લઇ આવ્યા.

    ઉપરાંત મહાવીર કહે છે કે સત્યને ઘણી બાજુઓ છે. ‘અનેકાન્તવાદ’
    જયારે દેશ આખો વર્ણવ્યવસ્થામાં સપડાયેલો હતો ત્યારે એમણે ‘ગુણાનુવાદ’ શીખવેલો (જાતિવાદનો છેદ).
    મહાવીર જયંતી પર એક લેખ મારા બ્લોગ પર રાખ્યો છે. સમય મળ્યે વાંચજો.

    Like

  4. ભુપેન્દ્રભાઇ, આવા લેખ પછી વિરોધીઓ ઘણાં મળ્યા હશે એવું હું મારા અંગત અનુભવ પરથી કહી શકુ છું. હિંમતથી તમે આ આખી સાચી વાત કહી છે. (હું પોતે હજુ તેવી હિંમત કેળવી શક્યો નથી). કોઇ સ્થાપિત જડતાને વખોડવી ઘણી અઘરી છે તે હું સારી રીતે જાણુ છું. ભણેલા લોકો પણ આસ્થાના નામે પોતાની અક્કલને ગીરવે મુકી દેતા હોય છે. ઘણાં વર્ષો પહેલા ગુજરાતમાં એક કાર્યક્રમમાં સત્ય સાંઇના “જાદુઇ” વિડીયો ફુટેજ ને જાહેરમાં બતાવવામાં આવ્યા હતા. ત્યારે લાગતુ હતું કે લોકો આ ધુતારાને જલ્દી જ ઓળખી જશે અને આ બાવો વધારે નહી ચાલે. પણ……. આગળ શું કહુ..! તેણે પોતાને ભગવાન જાહેર કર્યો હતો અને હવે લોકોએ તેને માથે ચડાવી દીધો.
    તમે આ લેખ લખ્યો છે તો એક વાત કહેવી છે કે ભવિષ્યમાં કયારેક બની શકે તો મારા વિષયને પણ લોકોના ધ્યાનમાં લાવશો તો મારા કાર્યમાં ઘણી મદદ મળી જશે. લોકો તમારી વાત સારી રીતે સમજશે. હું કોઇ ધર્મના વિવાદ નથી ઇચ્છતો પણ ભટકેલા મુર્ખ લોકોને સાચી વાત તો સમજાવવી પડશે ને. ઇમામુદ્દીને (ઇમામશાહ) ભુતકાળમાં હિન્દુઓને વટલાવ્યા છે તે તો હવે આખી દુનીયા જાણે છે અને ઇતિહાસ ચીસો પાડીને બોલે છે. પણ તેનો વટલાવવાનો પંથ આજે પણ બીજાઓને વટલાવવામાં મસ્ત છે અને હવે તેને રોકવો જરુરી છે. ઘણાં પુરાવાઓ પણ જાહેરમાં મુકયા છે અને બીજા ઢગલો પુરાવાઓ મારી પાસે પડયા છે. નવાઇ તો એ છે કે મારા દેશના કહેવાતા ધાર્મિક સંતો, સાધુઓ, સંતસમિતિઓ આ આખા કાંડને બઢાવો આપી રહ્યા છે !! કારણ એક જ છે, પૈસો !! ધુમ પૈસો ખર્ચે છે આ લોકો પોતાની “બ્રાન્ડ” બનાવવા પાછળ અને સાધુઓને “ખરીદવા” પાછળ. મજાક નથી કરતો ભાઇ તે બધાના પણ પુરાવાઓ છે મારી પાસે. અરે… ધર્મમાંથી વિશ્વાસ ઉડાડી દે તેવા પુરાવાઓ છે.
    કયારેક થાય કે શુ કહેવું આ બધા મુર્ખ લોકોને ? કંટાળીને એમ થાય કે છોડો આ બધી માથાકુટ, જેને જે કરવું હોય તે કરે… મારે શું ? સાચું કહું તો મારી આસપાસ આસ્થા, ભક્તિ અને લાગણીના નામે હજારો ગોરખધંધા ચાલે છે, નથી ગમતું પણ ચલાવી લેવા પડે છે. કેટલાનો વિરોધ કરું ???? એક વિષયને પકડયો છે તેને પણ પુરતો ન્યાય આપવામાં મારી તાકાત ઓછી પડે છે તો બીજા બધાની સામે લડવું કઇ રીતે ?
    લોકોને એક જ વિનંતિ કરવી છે કે કોઇ એક સાધુ-ધુતારાને પકડીને અંધશ્રધ્ધાથી પુજવા કરતા માત્ર સારા માણસ બનો અને માણસાઇથી જીવો તો પણ ઘણું છે. કોઇ ધર્મ નહી હોય તો ચાલશે અને કોઇ ભગવાન નહી હોય તો પણ ચાલશે. કદાચ વધારે સારી રીતે ચાલશે… બસ, માણસાઇ ના ભુલતા.

    Like

    1. વિરોધીઓ તો મળવાના જ.મિત્રો પણ ગુસ્સે થઈને વિરોધી બની જતા હોય છે.સત્ય સાઈના ફૂટેજ અહીં પણ મુક્યા છે.પણ હજુ લોકોને સમજ પડતી નથી.અરે ભણેલા ગણેલા પણ એમના ગુણગાન ગાવા લાગ્યા છે.મૂળ વાત અહીના ડોક્ટર્સ,એન્જીનીયર્સ લોકોનો અભિગમ પણ વૈજ્ઞાનિક નથી.

      Like

  5. પક્ષ-વિપક્ષ બંનેને વાંચ્યા. અમુક અંશે બંને સાથે સહમત છું. મારે કહેવું એ છે કે એકદમ ઝીણા અક્ષરો અને સાવ નજીક નજીક….લેખ સરળતાથી વાંચી શકાય, અક્ષરો એટલા મોટા અને લખાણ આટલું કોમ્પેક્ટ ન હોય તો સારું પડે.
    તમારા લેખો વાંચતી રહીશ..
    લતા

    Like

    1. વેબ પેજ પર ક્યાંય પણ કર્સર રાખીને
      મોટા ફોન્ટ્સ માટે ‘કંટ્રોલ key + પ્લસ key ‘ અથવા (‘Ctrl ‘ key દબાવી રાખીને ‘+’ key )
      અને
      નાના ફોન્ટ્સ માટે ‘કન્ટ્રોલ key + માઈનસ key ‘ અથવા (‘Ctrl ‘ key દબાવી રાખીને ‘-‘ key )
      વાપરીને સરળતાથી અનુકુળ ફોન્ટ્સ કરી શકાય છે.
      પેજ લે-આઉટ માટે તમારી કમેન્ટ યોગ્ય જ છે પણ કદાચ તમને ફોન્ટ્સ નાના , મોટા કરવા બાબતે જો જાણકારી ના હોય તો આ શોર્ટ કટ્સ key ઉપયોગી થશે.
      જો એની પહેલેથી જ જાણકારી છે તો ક્ષમા કરશો. (કદાચ બીજા વાચકોને ઉપયોગી થશે)

      Like

      1. WHAT TO WRITE, WE ALL KNOW, BUT MANY HAVE NO COURAGE TO FIGHT AGAINST MAJORITY. BUT ITS DUTY OF ONE WHO AGREE HAS TO DO SOME RHING, IF LEARNED DO NOT COME OUT OR UNDERSTAND, THAT IS MIS-FORTUNE OF THE DAY. GO ON WIKKY-PIDIYA, AND SEE WORLD CHART WHO BELIEVE IN GOD OR NO GOD. LIVE AND LET LIVE, AND LET LIVE GOD WHERE HE IS OR NOT ., LEAVE HIM WITH HIS VELENTNE. AND LIVE AS VYAS TOLD …AFTER WRITING ALL HIS CREATIONS..TO HELP OTHERS IS PUNYA AND TO HARRES IS SIN..WHY WORRY, DO GOOD AND LIVE AND LET LIVE.

        Like

  6. એવી જ રીતે આખા લેખને સિલેક્ટ કરીને પછી કંટ્રોલ + J દબાવવાથી આખો લેખ જસ્ટીફાય થશે.

    દરેક ફકરાને એક સ્પેસ આપશો તો વાંચવા–વિચારવામાં સરળતા રહેશે.

    Like

  7. આદરણીય ભુપેન્દ્રસિંહજી,
    આભાર,..

    ખુબજ સરસ લેખ. થોડું મારી રીતે ઉમેરીશ.

    “ઓશો” એ મોડર્ન આધ્યાત્મ માટે એકદમ “ફ઼ીટ” બેસતા ગુરુ કહિ શકાય. કારણ કે ધર્મ ના નામે ચાલતી ઘણી બધી ગેરરીતીઓ ને એમણે “લોજિકલી” પડકારી હતી. અને એજ કારણે વિશ્વભર માં કદાચ સહુ થી વધુ દુશ્મનો પણ એમણે જ ઉભા કરેલા. હિન્દુ ધર્મ ના સિધ્ધાન્તો પ્રત્યે એમને ખુબ આદર ભાવ હતો છતાં પણ એ ભગવાન ના અસ્તિત્વ ને પડકારતા જ રહ્યા. “વસુધેવ કુટુમ્બકમ” ની ભાવના હોય કે “જીવો અને જીવવા દો” એ બધુ હિન્દુ ધર્મ ની જ દેણ રહી છે. આજે જે દેખાય છે તેવી કાયરતા હકિકત માં કોઇ ધર્મ શિખવાડતો નથી. મહાભારત માં પણ “ક્રુષ્ણ” અર્જુન ને યુદ્દ્ધ કરવા ની સલાહ આપે છે. એવું જ રામાયણ મા પણ છે જ. યુધ્ધ વગર “સીતા” ની અયોધ્યા વાપસી અસંભવ હતી. મારો કહેવાનો તાત્પર્ય એ છે કે જરૂર પડ્યે યુદ્ધ કરવુ જ પડે છે. જો કે આજ ના સાધુ ઓ અને બાવા ઓ ના ભાષણો માં કોઇ યુધ્ધ ની વાત કરે તો એને કોમવાદી મા ખપાવી દેવા મા આવે છે. 😦 કારણ કે સમાજ મા વસતા ૯૮% ઉપર ના લોકો ભીરૂ પ્રક્રુતી ધરાવે છે. એ હકિકત મા ધર્મ નહિં પણ અંગત સ્વાર્થ ને કારણે છે. જેને ધર્મ ના નામ નો ધાબળો ઓઢાડી ને હર એક માણસ પોતાને નિર્દોષ સાબીત કરી રહ્યો છે.

    સત્યસાંઇ વિશે ઘણુ બધુ લખાશે. મેં હજુ વાંચ્યુ નથી કારણ કે એક અઠવાડીયા થી હું બહાર હતો. એક વાત સાથે ચોક્કસ સહમત થઈશ કે એ પાખંડી બાવા એ જન કલ્યાણ ના એટલા કામો કર્યા છે કે જે કોઇ અન્ય સાધુ ઓ નથી કરી શક્યા. એમણે એક લેખક શ્રી કાંતી ભટ્ટ સાથે ની વાતચીત દરમ્યાન કબૂલ કરેલુ કે ” ચમત્કારો ફ઼ક્ત અભણ પ્રજા માટે છે. આપ ભણેલાં લોકો ચમત્કાર ના જુઓ પણ મારો એની પાછળ નો આશય સમજો.” જો ઉપરોક્ત વિધાન એમણે માનવ કલ્યાણ ના આશય થી કર્યુ હોય તો એમની ચમત્કાર ના નામે થતાં તૂત ની ભુલ ને માફ઼ કરી શકાય તેમ છે જ. એવું મારુ અંગત માનવુ છે.

    Like

    1. મારો સૌ પ્રથમ લેખ ઓનલાઈન દિવ્યભાસ્કરમાં છપાએલો,કે ‘હિંદુ ધર્મ અહિંસક ક્યારે બન્યો?’.મોહન ભાગવત અમદાવાદ આવેલા તે ન્યુઝ એમાં હતા અને ભાગવતજી બોલેલા કે હિંદુ ધર્મ અહિંસક છે અને હિદ્નુંઓએ એક સંપ થવું જોઈએ.મેં નીચે કોમેન્ટ્સ લખેલી કે હંદુ ધર્મ અહિંસક ક્યારે બન્યો?સુર અસુર ના સંગ્રામ શું હતા?રામાયણ અને મહાભારત શું હતું?જરૂર પડે યુદ્ધ કરવું જ પડે.બીજું ૨૫૦૦૦ કરતા નોધાયેલા રજીસ્ટર્ડ સંપ્રદાયો હોય ત્યી હિંદુ કઈ રીતે એક થવાનો?આ કોમેન્ટ્સ એમાં સ્વતંત્ર લેખ તરીકે છપાએલી.

      Like

  8. રામક્રુષ્ણ પરમહંસ જી કદાચ મેડીકલ ની ભાષામાં “મલ્ટીપલ પર્સોનાલિટી ડિસઓર્ડર” નો ભોગ બન્યા હોય એવું બની શકે. મગજ દ્વારા તૈયાર થયેલી એક એવી ગોઠવણ કે જ્યાં માણસ ને “ફ઼િક્શન” પણ “રીયાલિટી” લાગે. એ આખો એક માનસ શાસ્ત્ર નો વિષય છે.

    પણ ખરા અર્થ માં જુઓ તો મજબૂત મનોબળ વાળા યોગી ઓ ને કોઇ ભગવાન ના નામ ની જરૂર નથી હોતી. હું એવા ઘણા સમાજ માં “સક્સેસફ઼ુલ” લોકો ને ઓળખું છું કે જેઓ પોતાના મનોબળ અને મહેનત થી આગળ આવેલાં છે. ખાનગી માં તો એ લોકો પણ ભગવાન ના અસ્તિત્વ ને સ્વિકારતા નથી પણ જાહેર જીવન માં ભગવાન નો અસ્વિકાર એ એક જાત નો અક્ષમ્ય ગુનો બને છે અને જે વીતાડવા માં આવે છે એનો જીવતો જાગતો દાખલો હું પણ છું જ. આપણા વેદિક શાશ્ત્રો માં પણ “મન” ની તાકાત ને અસીમ ગણવા મા આવી છે. એટલે જ સર્વપ્રથમ “ધ્યાન” કે ” સમાધી” જેવા પ્રયોગો આપણી જ સંસ્ક્રુતી મા જોવા મળ્યા. સનાતન ધર્મ નો પાયો “વિગ્નાન” છે, પણ સામાન્ય વ્યક્તિ વિગ્નાન ને સીધી ભાષામાં ના સમજી શકે એટલે એને ધર્મ નાં નામ ના વાઘા પહેરાવ્યા પણ સમય જતાં “વિગ્નાનીક” આશય લુપ્ત થતો ગયો અને સાધુઓ/બાવાઓ વિગેરે વિગેરે લોકો એ પોતાની દુકાન ચલાવવા માટે એમાં નીત નવીન તુત ઉમેર્યાં અને મુળ ધર્મ વિસરાઇ ગયો. આજેય ખુબ દુખ થાય છે જ્યારે ભણેલા લોકો ના નાના બાળકો ઘર મા ભુખ્યાં ટળવળતાં હોય અને એમની મમ્મી ઓ “ઠાકોરજી” નો થાળ ધરવા માટે “હવેલી” એ કતાર માં ઉભી હોય છે. વાર્ષીક લાખો રુપીયા ઓ ધર્માદા ના નામે સાધુ બાવા ઓ ને ધરતાં લોકો , જરૂરીયાત વાળા નિર્બળ/લાચાર ભીખારી ને જોઇ અને રસ્તો કાતરતા અથવાતો એ ભિખારી ને મહેનત કરી ને રોટલાં કમાવા ની સુફ઼િયાણી સલાહો આપતાં નજરે ચડે છે.

    પાછલાં અઠવાડીયા દરમ્યાન સફ઼ર માં થયેલો એક અત્યંત ખરાબ અનુભવ. ટ્રેન મા એક ફ઼કિર આવે છે , જોળી ફ઼ેલાવી ને પૈસા માંગે છે. અને દાનવીરો ખિસ્સા માં થી પૈસા કાઢી ને આપે છે. ફ઼કિર ના ગયા બાદ એક સાધુ બાવા આવે છે , લોકો એને પણ ધર્માદા ના નામે પૈસા આપે છે. બાવા પણ ચાલ્યા જાય છે. થોડા સમય બાદ એક અપંગ છોકરો આવે છે , પોતાનો “શર્ટ” કાઢી અને ટ્રેન માં નીચે પડેલો કચરો સાફ઼ કરતો જાય છે. આખો ડબ્બો સાફ઼ કર્યા બાદ એ એક એક સીટ પાસે જઈ ને હાથ ફ઼ેલાવે છે. “દાનવીરો” હાથ ઉંચો કરી ને “આગળ વધો” એવો ઇશારો કરે છે. અને આ મહેનત કર્યા બાદ છોકરા ને મળેલી કુલ રકમ સાધુબાવાને/ફ઼કિરને મળેલી રકમ ના કદાચ ૧૦% પણ નહોતી. ( ટ્રેન ના “જનરલ” ડબ્બા માં જવલ્લેજ મુસાફ઼રી કરી છે. એ.સી. ડબ્બા માં આવા અનુભવ થતાં નથી.)

    Like

  9. સુંદર લેખ. ઘણાં દુશમનો મે પણ બનાવ્યા આ બાબતને મારી ફેસબુક વોલ પર મુકીને. ખરેખર અહી લોકોનો અભિગમ વૈજ્ઞાનિક નથી. હજી લોકો પરંપરા, જુની ઘરેડ અને પુરાણોમાં જ જીવે છે. આપના સરેક પ્રયાસ સરાહનીય છે, આગળ જોઇએ શું પરિવર્તન આવે છે.
    http://itzhp.wordpress.com

    Like

Leave a comment