‘અઈ યો યો બેલ ઈરીન્ગે!’????

‘અઈ યો યો બેલ ઈરીન્ગે!’
એકવાર અમે સાઉથ ઇન્ડિયાની જાત્રાએ ગયેલા. ધર્મસ્થાનોએ જઈએ તોજ જાત્રા કહેવાય? વાત એવી હતી કે એક મિત્ર પુત્રને કોઝીખોડે કે કોઝીકોડે(Kozhikode) માં આર.ઈ.સી કૉલેજમાં એડમીશન મળેલું. ટકા થોડા ઓછા પડ્યા. અને જવું હતું એન્જીનીયરીંગમાં. ગુજરાતમાં કોઈ ચાન્સ હતો નહિ. રીજીયોનલ એન્જીનીયરીંગ કૉલેજનું એક ભારતવ્યાપી બોર્ડ છે. દરેક રાજ્યમાં એક કૉલેજ આવેલી  હોય છે. ગુજરાતમાં સુરતમાં છે. તેમાં જે તે રાજ્યના ૫૦% અને ૫૦% બીજા રાજ્યોના વસ્તીના ધોરણે સીટો ભરવાની હોય છે. એમાં ચાન્સ લાગી ગયો અને કેરાલાના કાલીકટ(કોઝીખોડે)માં આવેલી આર.ઈ.સી માં આ મિત્ર પુત્રને પ્રવેશ મળી ગયેલો. આ મિત્ર કદી દક્ષિણ ભારત ગયેલા નહિ. એમને ખબર કે મારા મોટાભાઈ બેંગ્લોરમાં છે અને હું ચારવાર ત્યાં જઈ આવ્યો છું. એટલે મને ઑફર કરી કે તમે સાથે આવો એ બહાને ફરતા અવાશે. હું તૈયાર થઈ ગયો પણ સાથે અમારા મિત્ર અરવિંદભાઈ ને પણ તૈયાર કર્યા. આમ અમે ચાર જણા દક્ષિણ ભારતની જાત્રાએ ઊપડ્યા. અગાઉના મારા હાસ્ય લેખોમાં અરવિંદભાઈનો  ઉલ્લેખ કરેલો છે.
બેંગ્લોર પહોચી ને પછી બસ પકડવાનું નક્કી કરેલું. સવારે અમારી બસ કાલીકટ પહોચી.  ત્યાં એ દિવસમાં કોઈ રાજકીય બંધનું એલાન હશે. એટલે બઝાર બધું બંધ હતું. પ્રાઇવેટ લકઝરી બસમાં ગયેલા એટલે બસ સ્ટેન્ડે ઉતરેલા નહિ. અરવિંદભાઈ થોડા નીચા અને જે તે પ્રદેશના માણસો સાથે ભળી જાય તેવી કદ, કલર અને કાઠી ધરાવતા. સામાન ઘણો હતો. એટલે એમને ત્યાં ઉભા રાખીને અમે હોટેલમાં કોઈ રૂમ મળી જાય તેની તપાસમાં ઊપડ્યા. એ સમયે સુરતમાં પ્લેગ ફાટી નીકળેલો. હોટેલમાં કહીએ  કે ગુજરાત થી આવ્યા છીએ તો રૂમ ખાલી નથી એવું કહી દે. શરુમાં સમજ ના પડી કે બધે રૂમો ખાલી નથી એવું કેમ બને? પાછાં જ્યાં સામાન સાથે અરવિંદભાઈ ઉભા હતા ત્યાં આવ્યા, ને શું કરવું તેના વિચારમાં પડી ગયેલા. અમારા જેવા અટવાઈ ગયેલા ઘણા મુસાફરો હતા. એમાંના કોઈ અરવિંદભાઈ પાસે આવીને દક્ષિણ ભારતીય ભાષામાં કશું પૂછે. હવે અમને કોઈને દક્ષિણ ભારતની એક પણ ભાષા આવડે નહિ. પણ અરવિંદભાઈમાં એક ખૂબી હતી. એમને એક પણ શબ્દ ના આવડતો હોવા છતાં દક્ષિણ ભારતની ભાષાનો ટોન આવડે. મતલબ શૈલી અને લહેકાની ખૂબ સરસ નકલ કરતા આવડે. શબ્દો જાતે બનાવી કાઢે. જેનો કોઈ અર્થ જ ના હોય.

કોઈ પૂછવા આવે એટલે એની સાથે એવા ટોનમાં ચાલુ પડી જાય. પેલા ને સમજ ના પડે કે આ માણસ કઈ ભાષામાં વાત કરે છે? અમે બાજુમાં ઉભા હસતા હોઈએ. પેલો થાકી ને જતો રહે. પછી એમનું અટ્ટહાસ્ય ગુંજી ઊઠે. મારા મિત્ર જે ડૉક્ટર હતા તે ખૂબ હસે..બીજો કોઈ માણસ નજીક કશું પૂછવા આવતો જણાય તો કહે હસતા નહિ હો, એને ભગાડી મુકું છું. પેલો એની ભાષામાં પૂછવા લાગે એટલે અમારી સામું જોતા જાય અને ફેંકવા લાગે, અમારું હસવું માય નહિ. પણ એ જરાય હસે નહિ, એકદમ સીરીયસ અભિનય કરતા પેલા જોડે એવાજ ટોનમાં બોલે જાય. ડૉક્ટરને હસીને પેટમાં દુખવા લાગેલું. પેલો થાકીને સમજ ના પડવાથી જતો રહે. અરવિંદભાઈ ને કહ્યું કે કોઈ રૂમ આપતું નથી. તો કહે સુરતમાં પ્લેગ ફાટેલો છે એના લીધે નહિ આપતાં હોય. હવે અમને સમજ પડી કે રૂમો અમારા માટે ખાલી કેમ નથી.
ફરી પાછા એક હોટેલમાં ગયા અને કહ્યું કે ભાઈ પ્લેગ સુરતમાં છે બરોડામાં નહિ અને અમે બરોડાથી આવીએ છીએ..તો કહે પ્લેગને સુરતથી બરોડા પહોચતા વાર કેટલી? પછી ડૉક્ટર આગળ આવ્યા અને કહ્યું કે ભાઈ હું ડૉક્ટર છું અમને કોઈને પ્લેગ નથી. માંડમાંડ રૂમ મળી. અરવિન્દભાઈ કહે એક તો મને બઝારમાં વચ્ચે ઊભો રાખીને જતા રહો છો બધા મને પૂછવા આવે અને ભગાડું છું તો હસો છો. બીજા દિવસે કૉલેજ કેમ્પસમાં જવાનું હતું. તે જરા કાલીકટ શહેરથી દૂર હતું. સિટીબસમાં જવા નીકળેલા. એક  તો અજાણ્યા અને ભાષા આવડે નહિ. થોડું હિન્દીમાં ચાલી જાય. અમારા ઉતરવાના સ્થળે બસ ઊભી રહી અમે ત્રણ જણા પાછળ જ હતા તે ઊતરી ગયા. ઊતર્યા પછી ખબર પડી કે અરવિંદ ભાઈ જરા આગળ ઊભેલા તે રહી ગયા છે અને બસ તો ઊપડી. ત્યાં બસ ડ્રાઈવર બસ બહુ ફાસ્ટ ચલાવતા હતા. અમે કશું બોલીએ તે પહેલા તો બસ આગળ નીકળી ગઈ. મેં કહ્યું હવે આ ચતુર ક્યાં ઊતરશે? ભાષા આવડતી નથી ને આતો લોચો માર્યો. પણ અમારા આશ્ચર્ય વચ્ચે બસ જરા આગળ જઈ ને ઊભી રહી ને હસતા હસતા અરવિંદભાઈ નીચે ઊતર્યા. મેં પૂછ્યું  કંડકટર ને શું કહેલું, તે બસ ઊભી રાખી. તો કહે જોર થી બૂમ પાડી ને બેલ ખેંચવાનો  ઇશારો કરતા કહ્યું કે
‘અઈ યો યો નાર્ગીલ્લો પોર્ગીલ્લો બેલ ઈરીન્ગે!’

પેલો સાઇન ભાષા સમજી ગયો ને બસ ઊભી રાખેલી. ઉપરના વાક્ય નો કોઈ અર્થ થતો જ નહોતો. પણ એમનો ટોન લાજવાબ હતો. તમને લાગે નહિ કે એમને સાઉથની કોઈ ભાષા આવડતી નથી. કૉલેજ કૅમ્પસમાં અમે પહોચ્યા. ત્યાં રૂમ મળી જાય પછી સામાન, બેગ,  બિસ્તરા  લઈ ને જઈએ. એટલે પાછાં અરવિંદભાઈ ને કેન્ટીન આગળ સામાન સાથે ઉભા રાખી ને અમે ઓફીસમાં ગયા. બધી વિધિ પતાવી ને પાછાં આવ્યા તો અરવિંદભાઈ કોઈ આંદામાન નિકોબારના છોકરા સાથે  હિન્દીમાં વાતો કરતા હતા. મને કહે આ ભાઈલો પહેલા તેની ભાષામાં વાત કરતો હતો મેં પણ એવીજ આલવા માંડી એટલે ધીમે રહી ને હિન્દીમાં આવી ગયો. કેન્ટીનમાં જમવા બેઠાં. તો રોટલી તો હોય નહિ. એક મોટા તગારાંમાંથી ડિશ ભરીને ભાત થાળીમાં નાખ્યા અને દૂધ માપવાનું જે લીટરીયુ આવે છે તેનાથી સંભાર નાખ્યો. થાળી ટેબલ પર લાવ્યા પછી અરવિંદભાઈ કહે મહિનો ચાલે તેટલો ભાત આજે આરોગી લો. ડૉક્ટરને જૂની વાત યાદ આવે ખૂબ હસવું ચડે. મને કહે આટલું આખી જીંદગીમાં હસ્યો નથી. આટલાં બધા ભાત એકલાં ખાવાના? પેટમાં સમાય કે નહિ? આજુબાજુ બીજા સ્થાનિક લોકો બેઠાં હોય તે આરામથી દાળભાત ખાતા હોય. આખી હથેળીમાં ભાત લેવાનો, મિક્ષીંગ પ્રક્રિયા હાથ ધરવાની, આંગળીઓ વચ્ચેની તિરાડમાંથી દાળ ડોકિયાં કરતી હોય, ક્યાંક રેલાતી પણ હોય પછી કોળિયો ખાવાનો. જેવા જેના રિવાજ. અરવિંદભાઈની વાતો ચાલુ હોય. તેમાં ડૉક્ટરને વધારે પડતું હસવાથી ખાંસી ચડી. આંખોમાંથી પાણી વહેલા લાગ્યું. પૂરો ભાત ખવાણો  પણ નહિ. કદી આટલાં પ્રમાણમાં ખાધેલો જ નહિ.
મિત્ર પુત્રને ત્યાં મૂકીને અમે બેંગ્લોર આવ્યા. મોટાભાઈ ને ત્યાં રોકાયેલા. બીજા દિવસે બેંગ્લોર દર્શનની બસમાં સીટી ની મુલાકાતે નીકળ્યા. અહીં કોફીનું વધારે ચલણ. ચા પણ મળે. અરવિંદભાઈને કોફી પીવાનો બહુ શોખ. બરોડા કેનેરા કોફી હાઉસમાં કોફી પીવા જઈએ તો ઑર્ડર આપશે, ‘એક સ્ટ્રોંગ કમ સક્કર કોફી આવવા દેજે’. થોડી કડવી લાગે તેવી કોફી પીવાની મજા આવે. બેંગ્લોરમાં કોફી પીવાની એમને મજા પડી ગઈ. જ્યાં બસ ઊભી રહે ત્યાં કોફી જ પીવે.
આમ મુસાફરી પૂરી કરી ગુજરાત પાછાં આવી ગયા. બેચાર દિવસ પછી અરવિંદભાઈ મળ્યા તો કહે હવે આખી જીંદગી કોફી નહિ પીવું. મેં પુચ્છ્યું કે શું થયું? તો કહે
‘અરે સાલું આ અતિશય કોફી પી ને નીચેનો વાલ્વ જામ થઈ ગયેલો, લગભગ બંધ જ થઈ ગયેલો.’
મને સમજ ના પડી. તો કહે ચામાં એરંડિયું પીધું ત્યારે ખુલાસો થયો. હવે સમજ પડી કે અતિશય કોફી પીવાથી કબજિયાત થઈ ગયેલી. પણ ત્યાર પછી કોઈ દિવસ કેનેરા કોફી હાઉસનું નામ ના લે.
વડોદરા કૉર્પોરેશનની ચૂંટણીની મત ગણતરી પોલીટેકનીક કૉલેજમાં હતી. ત્યાં એમાંના વૉર્ડના  વિજેતા ઉમેદવારને હાથ મિલાવી ને ઘેર આવ્યા ત્યાં સુધી કોઈ ને ખબર નહોતી કે હવે સમય થઈ ગયો છે અરવિંદભાઈની આખરી વિદાય નો. આજે સવારે સમાચાર મળ્યા કે સીવીઅર હાર્ટ ઍટેકમાં સાજાસમા હસતા હસાવતા અરવિંદભાઈ અચાનક ભૂતકાળ બની ગયા છે. મેં એક પરમ મિત્ર ગુમાવ્યો છે. મન બહુ ઉદાસ હતું. આ અરવિંદભાઈને શ્રદ્ધાંજલિ આપવી હતી. થયું કે જેમણે કાયમ મને હસાવ્યો જ છે તેમને એક લેખ લખીને, જુના સંસ્મરણ વાગોળીને શ્રદ્ધાંજલિ અર્પશું.
नैनं  छिन्दन्ति  शस्त्राणि  नैनं  दहति  पावकः
नचैनं  क्लेदयं  त्यपो  न  शोषयति  मरुतः
શસ્ત્રો છેદી શકતા અને અગ્નિ બાળી શકતો નથી, ભલે ગીતા એવું કહે પણ જે શરીરમાં આ કહેવાતો આત્મા હોય છે તે શરીરને તો બાળી શકાય છે. હવે શ્રી અરવિન્દભાઈ કે એમનો અમર આત્મા ફરી કદી હસાવી શકવાના નથી.

13 thoughts on “‘અઈ યો યો બેલ ઈરીન્ગે!’????”

  1. ન જાયતે મ્રિયતે વા કદાચિ- ન્નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ |
    અજો નિત્યઃ શાશ્વતોઽયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે ||
    (તે (આત્મા)ન તો જન્મે છે કે ન મરે છે,
    તે તો અજન્મા,અન્તહીન, શાશ્વત અને અમર છે, સદાય છે, પ્રાચિન છે, શરીરનાં મરવા છતાં તેનો (આત્માનો) અંત થતો નથી.)

    God Bless his soul.

    Like

  2. અરવિંદભાઈના મરણનો શોક થાય તેમાં કશું ખોટું નથી. શોક કરવો જ જોઈએ પણ પ્રમાણસર. આ બાબતમાં તત્વજ્ઞાન ન ચાલે.
    આત્મા અને શરીર વચ્ચેનો સંબંધ કંઈ શરીર અને કપડા વચ્ચેના સંબંધ જેવો છીછરો (superficial) નથી. આત્મા અને શરીર વચ્ચે એકએકસંગતતા (one-to-one-correspondence) હોય છે. એક આત્મા એક જ શરીરમાં વસી શકે, એક શરીરમાં એક જ આત્મા વસી શકે. જ્યારે એક શરીર જુદા જુદા કપડા પહેરે, એક કપડું કાઢી નાંખી, ધોવાયા બાદ ફરી પાછું પહેરે. શરીરો એક બીજાના કપડા પહેરી શકે, આત્માઓ એક બીજાના દેહ ધારણ ન કરી શકે. આમ આ બે સંબંધો જરા પણ સરખા નથી. તેથી શરીરની વસ્ત્ર સાથેની સરખામણી (ભગવદ્ગીતા ૨.૨૨) વ્યર્થ છે. તેમ ન હોત તો પ્રહ્લલાદ નામના નાશવંત શરીરને હિરણ્યકશિપુ નામના નાશવંત શરીરના ત્રાસ અને દુઃખમાંથી બચાવવા નરસિંહ નામનું કામચલાઉ શરીર ધારણ કરવાની ફરજ વિષ્ણુને પડી ન હોત.
    શ્રીકૃષ્ણએ ભલે કહ્યું (ભગવદ્ગીતા ૨-૩૮) પણ સુખ-દુઃખ, લાભ-અલાભ, કે જય-પરાજય ને સરખા ગણી શકાય જ નહીં. તેમણે પોતે પણ છ સાત વાર પાંડવોનો વિજય કરાવવા માટે ગેરરીતિ અપનાવી હતી. બધું જ સરખું ગણવાનું હોય તો પછી ‘સાધુ’ઓનું પરિત્રાણ અને દુષ્કૃતોનો વિનાશ શીદ કરવો? એટલા માટે કે દુર્જનો સજ્જનોને (‘સાધુ’ એટલે ‘સારા’ નહીં કે ભગવા વસ્ત્રધારી) ત્રાસ અર્થાત્ દુઃખ આપતા હોય છે. હવે જો સુખ્-દુઃખને સરખા જ ગણવાના હોય તો પરમેશ્વર સજ્જનોને તેવો ઉપદેશ આપીને સંતોષ ન માને? અવતાર શા માટે લે? આપણે પણ આરતીમાં ‘દુઃખ વિનશે મનકા, સુખ સંપતિ ઘર આવે, કષ્ટ મીટે તનકા’ ગાઈએ છીએ તે શું ગીતાના ઉપદેશની વિરુધ્ધનું નથી? સ્પષ્ટ છે કે સુખ અને દુઃખને સરખા ગણી શકાય જ નહીં. એ ખરું કે પરમેશ્વર કંઈ સુખદુઃખનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર નથી ચલાવતો કે આપણી પસંદગી પ્રમાણેના સુખદુઃખ આપે. તે તો તેની અકળ સ્વયંસંચાલિત વ્યવસ્થા પ્રમાણે મળ્યા કરે.
    અહીં જ પ્રમાણસરતાની જરૂર પડે છે. કોઈ સ્વજન કે સ્નેહીના દેહાંતનો શોક તો થાય જ અને તેમાં કશું ખોટું નથી. શોક ન જ કરવો તે એક આત્યંતિકતા (extremism) થઈ. બીજે છેડે શોકનો અતિરેક એવો થાય કે આપણો કે આપણા જીવિત સ્વજનોનો વ્યવહાર સાવ ઠપ્પ થઈ જાય. બંન્ને પ્રતિક્રિયા અનુચિત છે. મરનારની વય તથા મરણના સંજોગો અનુસાર વધતોઓછો પ્રમાણસર શોક કરવો જોઈએ. ભીષ્મના મરણનો શોક થાય એટલો ન જ થાય જેટલો અભિમન્યુના કપટવધનો થાય. પણ અર્જુને અભિમન્યુના વધનો શોક ન જ કરવો જોઇએ એમ તો ન જ કહી શકાય.

    Like

  3. સૌ મિત્રો નો ખુબ આભાર.શોક નો અતિરેક નાં થવો જોઈએ તે સાચી વાત છે.આ અતિરેક નાં થાય તેટલા પુરતી ફિલોસોફી સારી છે.બાકી શોક થવાનો તો ખરોજ.આત્મા ભલે ને અમર હોય,જે શરીર દ્વારા વ્યક્ત થતો હતો,અનુભવી શકતા હતા તે હવે શરીર નાશ પામતા શક્ય બનતું નથી.પણ કુદરત નાં ક્રમ મુજબ શરીર ગયું છે તે સ્વીકારી લેવું સારું.ફરી એક વાર તમામ પ્રતિભાવ આપનાર મિત્રો નો આભાર.

    Like

  4. Dear brother,
    very sad to learn about the demise of Arvindbhai, i think i also know him if he is the same Arvindbhhai who used to be the “padosi” of Dr. J. R. Raol many many years back(near Jubilee Garden). Please, confirm. This shows you loved him. He was a jolly person and simple too. Height was below average but his heart was above average. See, this world is a “Pankhi ka Mela”.

    Like

    1. ભાઈ એજ અરવિંદભાઈ અચાનક જ ગુજરી ગયા.કલ્યાણસિંહ નો મિસ કોલ આવેલો.મેં સામો ફોન કરતા જાણ્યું.

      Like

  5. “હવે શ્રી અરવિન્દભાઈ કે એમનો અમર આત્મા ફરી કદી હસાવી શકવાના નથી.”
    સાવ સાચી વાત કરી.
    શ્રીકૃષ્ણએ ભલે દેહને ઉતારી પાડ્યો હોય, તે પણ આત્મા જેટલો જ મહત્ત્વનો છે ન તો ઓછો, ન વધારે. જેટલો નકામો આત્મા વગરનો દેહ છે તેટલો જ નકામો દેહ વગરનો આત્મા (ભૂત?) પણ છે.

    Like

    1. સાચી વાત છે.દેહ વગર આત્મા ની શું ઓળખ?આપણે આત્મા ને મહાન અમર માની ને દેહ પ્રત્યે દુર્લક્ષ ધરાવતા થયા.એટલે દેહ ની કાળજી ને અવગણી.પરલોક ની ચિંતા માં આ લોક ને અવગણ્યો.આત્મા નું શુદ્ધિ ની લાહ્ય માં દેહ ની શુદ્ધિ ભૂલ્યા.

      Like

  6. રાઉલજી,
    મિત્રની વિદાયથી દુ:ખ તો થાય જ. ને પછી અવાર નવાર યાદ પણ આવતી રહે.. એમનું બોલવું … એમની આથે વિતાવેલા દિવસો વગેરે…
    અરવિદભાઈ સાથેના અનુભવો લખતા રહેજો.
    શરૂઆતમાં હસ્યા પણ છેલ્લે આંચકો લાગ્યો.
    અમારા તરફથી ભાવભરી શ્રદ્ધાંજલી.

    Like

    1. ખુબ આભાર યશવંત ભાઈ.૧૯૭૨ થી અમારી મિત્રતા હતી.ગમે તેટલું હસીએ કદી ખોટું ના લગાડે.કાયમ હસતા રહેવું તે એમનો સ્વભાવ હતો.યાદ તો આવતી રહેવાની.

      Like

  7. I am really sad to learn of the demise of ‘laughing’ Arvindbhai. We were neighbors for some years in Vadodara some 35 years ago. I had seen him a few years ago in his own house as well as in my house in Vadodara. We can only cherish the memories of his sweet association with us. Please convey my condolences to his family members, if you can. May his soul rest in peace.

    Like

Leave a comment