“તિલક(અંધ માન્યતાઓ) વખોડતા ત્રેપન થયા”….

                 *તિલક કરતા ત્રેપન થયા,જપમાળા ના નાકા ગયા.એક મૂરખ ને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ.પાણી દેખી કરે સ્નાન.આશરે ઈ.સ.૧૬૦૦ થી ૧૬૫૫ ના ગાળામાં ખાડિયા,અમદાવાદ ની કોઈ પોળ માં બેઠા બેઠા એક સોની એ બ્રહ્મજ્ઞાન ની વાતો લખી.એ હતા ભક્ત કવિ અખેરાજ.છપ્પા તો અખા ના,એવી છાપ પડી ગયેલી.આજે લગભગ ચારસો વર્ષ વીતી ગયા.તોય ના તો સમાજ સુધર્યો કે ના અંધમાંન્યતાઓ દુર થઇ.કેમ?લોકો વધારે ને વધારે ઉલટાના ડૂબતા ગયા.

       *હવે વાંચો શ્રી ગુરુઓ મુખેથી,
               *એક ઓરડા માં બેઠા બેઠા કવિતાઓ કરો તો કોણ ધ્યાન માં લે?એને માટે મોટી મોટી સભાઓ ભરવી પડે.થોડી દાઢી ટ્રીમ કરેલી વધારવી પડે.કાતો ઓરેન્જ કલરના કપડા પહેરવા પડે,કાં તો ખભે ભર ઉનાળા માં પણ કાળો નાનો બ્લેન્કેટ નાખવો પડે.ઘણી બધી બીઝનેસ પોલીસીઓ,ને જાહેરાતોનું વિજ્ઞાન અમલમાં મુકવું પડે.થોડા ડ્રામા કરવા પડે.ચાલો ભાઈ આજે મને એક સરસ તુક્કો સુજ્યો છે.પેલા ફલાણા ભાઈ નો નાનો છોકરો આકાશ માં વિમાન જોઈ ને કહેતો હતો,મારે એમાં બેસવું છે,તો આપણે પણ વિમાન માં કથા ગોઠવીએ.કેમ લોકો ક્લબો માં જઈને પૈસા નથી વેડફતા?આમેય આડા ધંધા કરીને કમાયેલા પૈસા ભક્તો વાપરશે તો,એમના પાપ ઓછા થશે.અહી તો સરવાળા બાદબાકી ચાલે.ધંધો છે થોડું આડું અવળું કરવું પડે પછી મંદિર કે ધર્માદા માં આપી દેવાનું,એટલે છૂટ્યા.અને આમેય થોડું વધારે મંદિર માં લખાવ્યું હોય તો આગળની ખુરશીમાં બેસવા મળે.નહીતો પાછળ નીચે બેસવું પડે.થોડું શ્રોતા ઓને રડાવવા પણ પડે.માસ સાયકોલોજી વાપરવી પડે.જોડે આપણે પણ રડવું પડે તોજ શ્રોતાઓ પર અસર પડે ને ભાઈ!
               *આવી રીતે આ અખા ભાઈ ની જેમ સાચી વાતો કહી દઈએ તો ધંધાનું સત્યાનાશ થઇ જાય.વર્ષે લાખો રૂપિયાની માળાઓ ને મૂર્તિઓ વેંચાય છે,એનું શું થાય?એની પાછળ પુસ્તકો,કેસેટો,સીડી અને દવાઓ ભૂલી ગયા?આ અખાભાઈ નું ચાલે તો ભારતની ઈકોનોમી નું શું થાય?આ ધીરુભાઈ અંબાણી બચાડા આખી જીંદગી મહેનત કરી,પેટ્રોલપંપ પર નોકરી કરતા ત્યારથી મનમાં ઘુસી ગયેલું કે મારા પોતાના પંપ કેમ ના હોય?એમાંને એમાં ખોટો સ્ટ્રેસ વેઠી સ્વર્ગસ્થ થઇ ગયા.આ જો આપણે થોડી ગીતા વાચી લીધી,થોડી રામાયણ ની ચોપાઈઓ મોઢે કરી લીધી.તુલસીદાસ આપણા માટે તો કવિતા લખી ગયા છે.કૃષ્ણ તો કાયમ ની શાંતિ કરીનેજ ગયા છે.મફતનું ખાઈસ નહિ,મફતનું લઈશ નહિ એવી સારીસારી વાતો કરીને,જુઓ કોઈ ખર્ચો જ નહિ,લોકો એમના થેલા માંજ ખાવાનું લઈને આવે ને ગાંઠના ખર્ચે આપણો પ્રચાર કરે.ખોટા ધીરુભાઈ એ નકામી મહેનત કરી.વિચારો વેચીને જ્યાં રૂપિયા બનતા હોય ત્યાં વસ્તુનું ઉત્પાદન કરવું,ને વેચવું?આ ધીરુભાઈ ના છોકરા આપણા પગે પડે,એમના ઘેર આપણને બોલાવે.વડોદરાની પોળો ને ગલીઓ માંથી ધીરુભાઈ ના ઘર સુધી ની સિદ્ધિઓ ઓછી ગણાય?
                 *થોડી કોઈ ધંધા ના ગુરુ ની નકલ પણ કરવી પડે ભાઈ.ગુરુ વિના જ્ઞાન નહિ.ગુરુ ભર ઉનાળા માં ખભે ઉનનો બ્લેન્કેટ નાખેતો આપણે પણ નાખવાનો.પહેલા સામાન્ય ગરબા નવરાત્રીમાં ગાતા હતા.કોઈવાર અમેરિકા પણ ગાવા જતા.થોડું તો આઘું પાછું કરવું પડે.એમ કઈ તારા વિના શ્યામ ના રાગડા કાઢે થોડા ખર્ચા નીકળે?લોકો તો કહે,લોકોને તો ટેવ પડી ગઈ છે,કબુતરબાજી કરી એ સાબિત થોડું થયું છે?સાલું હવે ધંધા માં હરીફાઈ પણ વધી ગઈ છે,નવા નવા ગાયકો આ સારેગામા વાળા બહાર પાડે,કઈ વાંધો નહિ સુંદરકાંડ શેના માટે છે.બહુ ફિલોસોફી ની ઊંડી વાતો માં પડવાનું  જ નહિ,આમેય ગળું તો સારું છેજ,સુંદરકાંડ ગાયે રાખવાનો.ગુરુ છોને આખું રામાયણ ગાય.એકાદ કાંડ થી પતતું હોય,તો આખાં રામાયણ નું શું કામ?અને હવે તો ગુરુજી પણ આખું રામાયણ ગાતા નથી.મોટા માણસો મોટા ખેલ પાડે,આપણે તો ચાલે એમના વાદે એમ કઈ એટલી ઠંડીમાં હિમાલય માં સુંદરકાંડ ગાવા ના જવાય.ગળું બેસી જાય.હવે તો આ ધંધા માં પણ હરીફાઈ નડે છે.આપણી સીડીઓ અમેરિકા પણ પહોચી ગઈ છે.
               *આ અખાભાઈ વળી ઘણા પરમેશ્વર એ કયાની વાત?એવું કહે છે.૩૩ કરોડ દેવતા છે અને વસ્તી છે એક અબજ.દર ત્રણ માણસે એક દેવ છે.પછી ખોટી ચિંતા કરવાની?લોકો જેટલા વધારે દેવ ને પૂજે,એટલા એમના કેટલા બધા પરવાનેદાર એજન્ટોને રોજીરોટી મળે.આ અખાભાઈ નું શું જતું હશે?મૂળે સોની ખરાને ઇકોનોમિકસ ની સમજ ના પડે.
              *આ અખાભાઈ થી તો તોબા.કહે છે,”દેહાભિમાન હતું પાશેર,વિદ્યા ભણતા થયો શેર,ચર્ચા વધતા તોલું થયો,ગુરુ થયો ત્યાં મણમાં ગયો.અખા અમે હલકા થી ભારે હોય,આત્મ જ્ઞાન તે મૂળગું ખોય.”જોકે વાત તો સાચી છે.પહેલા બેત્રણ માણસો આવતા સાંભળવા,ત્રણ માણસો થી ત્રણ લાખ માણસો સુધી હવે તો પહોચી જવાયું છે.આમેય આત્મજ્ઞાન જે ને થયું છે એતો કશું કહેતા જ નથી કે એમાં શું થાય છે?હૃદયમાં કે બ્રેન માં કોઈ સળવળાટ થતો હશે?ભગવાન જાણે શું થતું હશે.એક કહે છે કૈવલ્ય થયું,બીજો કહે છે શૂન્ય,નિર્વાણ,ત્રીજો વળી પૂર્ણમિદમ ની વાતો કહે છે.પૂર્ણ માંથી પૂર્ણ જાય તોય પૂર્ણ બાકી રહે આ ગણિત સાલું સમજાતું નથી.કોઈ કહેશે જ્ઞાન,આત્મજ્ઞાન,સાક્ષાત્કાર,મોક્ષ કેટકેટલા નામ એકજ વસ્તુ ના?એમાય પાછુ કેહેસે કે જાતે અનુભવો તોજ ખબર પડે.એમ કહેવાથી ના સમજાય.આમાં એક વાર્તા યાદ આવે છે ટૂંક માં કહું?એક રાજા ને એક ખેલાડી ગુરુજી ભટકાયા.કહે ભગવાન પ્રસન્ન  થયા છે અમુક દિવસે દૈવી અલૌકિક કપડા આપશે તે તમારે પહેરવાના છે.પણ આખું નગર ભેગું કરવું પડે જોવા માટે.જે તે દિવસે આખું નગર ભેગું થયું જોવા માટે.જાહેર માં ગુરુજી કહે હવે કપડા કાઢો અને આ પેટી માં દિવ્ય કપડા છે એ પહેરો,પણ ફક્ત જે બે બાપ નો ના હોય એનેજ દેખાશે.બાકી નહિ દેખાય.હવે અંદર કશું જ ના હતું પણ બે બાપ નો કોણ થાય?રાજાને પણ કશું દેખાતું ના હતું પણ કહે તો બે બાપ નો સાબિત થાય.આખાં નગરના પ્રજાજનો વચ્ચે રાજા ને દૈવી કપડા પહેરાવ્યા.લોકો પણ જયજયકાર કરવા લાગ્યા શું સુંદર કપડા છે.રાજા ને થયું મારી માએ બાપ ને છેતર્યો તો છે,પણ હવે કહેવું શી રીતે?તેરી બી ચુપ મેરી બી ચુપ.એક સામાન્ય નગર જન ના ખભે બેઠેલો નાનો છોકરો એના બાપ ને કહે પિતાજી આ રાજા નાગો કેમ ઉભો છે?પેલો બાપ કહે ચુપ મર.મને પણ દેખાય છે.પણ અત્યારે સમય નથી બોલવાનો.આત્મજ્ઞાન નું આવું છે ભાઈ શું થાય છે કોઈ કહેતું જ નથી.પણ આ બધામાં પેલા આપણા જેટલી જૂની સંસ્કૃતિ ધરાવતા ચીન ના લાઓત્સે(Laozi,Lao Tzu,Old master) બહુ ઉસ્તાદ,ભારે ખેલાડી.કહે છે સત્ય શબ્દોમાં ના વર્ણાય.અને શબ્દોમાં વર્ણવીએ તો સત્ય સત્ય જ ના રહે.એટલે કશું લખવાની ઝંઝટ જ નહિ.ખોટા વેદો,પુરાણો,ગીતા,ઉપનીષદો લખવા?પણ આ ચીન નો સમ્રાટ પાછળ પડ્યો કશું ક તો લખોજ.એટલે લાઓત્સે ભાગ્યાં.જકાત નાકા પર પકડાય ગયા.જકાત ભરો,પણ પૈસા નથી.રાજા ની સુચના હતીજ કે જકાત ના બદલામાં કશું લખાવી લેજો.હવે છૂટકો નહતો.”તાઓ તેહ કિંગ”(Tao te Ching,Dao De Jing) લખવું પડ્યું.
              *અખા ભાઈ ની વાતો સાચી માનીએ તો સર્વાઈવ થઇ રહ્યા.નોકરી ધંધા માં કેટલી બધી મહેનત કરવી પડે છે.આ આરામ નો બિજનેસ થોડો છોડી દેવાય?આમારું ગ્રુપ બહુ મોટું છે.આમ ભલે અમે જુદા જુદા હોઈએ પણ અંદરખાને બધા સરખાજ,અને એક પણ છીએ.કોઈ એક ના માથે તવાઈ આવી તો બધા એક મંચ પર ઉભા થઇ જઈએ.એવો હોબાળો મચાવી દઈએ કે સરકાર પણ ગભરાઈ જાય.પછી આવા અનેક અખાભાઈ આવે અમારું કશું બગાડી ના શકે.સારા સારા લેખકો પણ અમે કબજે કરી લીધા છે,બહુ કામ લાગે.આ કોઈ કોઈ વાર પેલા નવા ફૂટી નીકળેલા અરવિંદ અડલજા,અને એમના જેવા બીજા અનેક અશ્રદ્ધાળુ બ્લોગીયાઓ એમની હોશિયારી છોને બતાવ્યા કરતા,એમની તતુડી કોણ સાભળે છે?જુઓ ભાઈ આપણે તો મેટ્રિક માં ત્રણ વાર નાપાસ થયા પણ ડો ગુણવંત શાહ અને શ્રી કાંતિ ભટ્ટ જેવા વિદ્વાનો આપણી તરફેણ કરે છેને?આપણે તો ચોખ્ખુજ કહી દીધું એકવાર પેલા રજત શર્મા ને વટ કે સાથ  “પઢાઈ હાર ગઈ ભજન જીત ગયા.”શું લોકોએ તાળીઓ પાડી  છે,તમે જોયા કરો.મૂરખ ઓડીયન્સ ને ખબર નહિ કે આપણી તો મજબૂરી હતી,અને બધા પાસે આપણાં જેવી બોલવાની કળા ના હોય.છતાં લોકોને સિક્સર મારી,ગઝલ,કવિતા,દુહા,છંદ,છેવટે ફિલ્મી ગીતો ગાઈને ખુશ કરવાની આવડત જોઈએ.પછી ભલેને પેલી ગોંડલ ની કોલેજ કન્યા ચાલુ કલાસે માળા સંતાડી રામ રામ કર્યાં કરતી.ભણવાનું ગયું ભાડ માં.શ્રી કાંતિભટ્ટે માતબર ગુજરાતી દૈનિક માં લખી પણ દીધું કે આ કોલેજ કન્યા પર કોઈ કટાક્ષ ના કરી શકે.પત્યું?પણ આ મૂર્ખી કોલેજ શું કામ જતી હશે?ઘેર બેસીને માળાઓ કરતી હોય તો શું થાય?આમેય ભણી ને કોનું ભલું થયું છે.સાચી વાત ને?

         *અમારામાં ય ઘણા અતિ કરી નાખતા હોય છે.अति सर्वत्र वर्जयेत પણ માને નહિ.પણ વિશ્વહિંદુપરિષદ શેના માટે બનાવી છે?જોયું મોદી સરકાર ને પણ ખખડાવી નાખીને?ચર્ચ ના ઈશારે સંતોને પરેશાન ના કરો.હવે આમાં ચર્ચ કઈ રીતે ઘુસ્યું ખબર ના પડી,આમેય કોણ તપાસ કરવાનું હતું?જોકે કશું પણ થાય તો પરધર્મ ને વિદેશી પરિબળો નો હાથ છે એવું બોલી નાખતા વાર કેટલી?જોકે સરકારો માં અમારી એટલી બધી પક્કડ હોય કે કોઈ કશું ના કરી શકે.જયલલિતા જેવી ભારેખમ(વજનમાં)બાઈ એ શું કરી લીધું?બધા મંચ પર એક થઇ ગયા.અમારા પેલા ગુજરાત માં અતિ કરવાવાળા તો રડી પડ્યા,ધર્મ નો નાશ થઇ રહ્યો છે,હે ભગવાન ક્યાં છો તમે?હવે તમારે અવતરવું જ પડશે.નાટકબાજી માં એમને કોઈ ના પહોચે.અમારામાં ના બીજા એ ગુજરાતી ચેનલ પર ઇન્ટરવ્યું માં સલુકાઇ થી જવાબ આપી દીધો કે કાયદો કાયદાનું કામ કરે પણ ધર્મ ના આટલા ઉચ્ચ વડા ઉપર આટલી કડકાઈ ના કરવી જોઈએ.ભાઈ ક્યારે આપણો વારો આવી જાય,અગાઉ થી કહી રાખ્યું હોય તો સારું.
            *જોકે અમારામાય ફાટફૂટ તો ચાલી આવે છે.ધંધાકીય હરીફાઈ બીજું શું હોય?કોઈ પ્રમાણિક પણ હોય.પણ એવા દંતાલી વાળા જેવાઓને અમે નાતબહાર જ મૂકી દઈએ.વર્ષો પહેલા એક ખેલાડી એવા નીકળેલા,નુસખા બધા અમારા જેવા વાપર્યા ને ફેમસ થયા પછી આમારી જ વિરુદ્ધ પડ્યા.શું નામ હતું?કોઈ ઓશો જેવું.મુક્યા સીધા નાતબહાર.કોઈ દેશે ના સંઘર્યા,રીબાઈ ને અકાળે વૃદ્ધ થઇ દેવલોક થઇ ગયા.જતા જતા લખતા ગયા કે હું તો આ પૃથ્વી નામના પ્લાનેટ (ગ્રહ) ની મુલાકાતે આવેલો.ભારે ભરાડી.
            *આ સ્કીજોફ્રેનીયા શું છે વળી?આ મનો વૈજ્ઞાનિકો કહે છે,કે તમે નાં હોય તેવી માની લીધેલી વ્યક્તિઓ સાથે રમો,હસો,વાતો કરો,ઝગડા કરો,હિંસક બની જાવ,સગાસંબધી ઓને મારો,તોફાનો કરો આવું બધું કરો તો તમને સ્કીજોફ્રેનીયા થયો કહેવાય.મતલબ એક જાતનું ગાંડપણ.જોકે અમેતો ડ્રામાં કરતા હોઈએ છીએ.હજારો વર્ષ પહેલા થઇ ગયેલા કે પછી માની લીધેલા લોકોને યાદ કરી રડવું ને લોકોને રડાવવા એતો અમારે માટે સામાન્ય છે.એના માટે તોફાનો એ થઇ જાય ને લોહીની નદીઓ પણ વહી જાય.આ હજારો વર્ષ પહેલા થઇ ગયેલાઓ ને લીધે તો એક આખા ધંધાનું સાધન ઉભું થઇ ગયું છે.ટૂંક માં અમે આખા દેશ ને સામુહિક સ્કીજોફ્રેનીયા ગ્રસ્ત જ બનાવી દીધો છે.કોઈ ઝંઝટ જ નહિ.પાંચ હાજર વર્ષ પહેલા થઇ ગયેલા ને હજુ લોકો નવરાવે છે,ઊંઘાડે,ઉઠાડે,ખવડાવે,અરે એમને જોવા ભીડ માં કચડાઈ ને મરી પણ જાય.અરે એમના બહાને સુંદર સુંદર નારીઓ સાથે રમવા પણ મળે. હવે આનાથી બીજો કોઈ મોટો સ્કીજોફ્રેનીયા બતાવો તો ખરા.જે છે એની ચિંતા નહિ ને જે નથી એની ચિંતા તે આનું નામ. 
                      *પેલી અમેરિકાની ટોક શો વાળી એલન એકવાર ડંફાસો મારતી હતી કે હું કદી કોલેજ કે યુનીવર્સીટી માં ગઈ નથી છતાં હ્યુજ સેલીબ્રીટી છું.એને શું ખબર અહી ભારત માં તો એવા અભણીયા લાખોમાં હશે કે જેમના પગે ખુબ ભણેલા પડતા હશે.ભણતર નું આમાં ખાસ કશું કામ નથી.એક નવાઈ ની જાણવા જેવી વાત,એ  એલન છે તો બાઈ માણસ પણ લગન કર્યા છે પાછી બીજી બાઈ જોડે.પાછી કહે છે હું હસબંડ છું ને બીજી બાઈ મારી વાઈફ છે.શું કળજુગ આવ્યો છે?અમારા માં ઘણા એવા છે ઉંધી ખોપરીના કેહેશે બાઈ માણસ જોઈ સાલું ચળી જવાય છે,એટલે નિયમ જ કરી દીધો કે બાઈ માણસ છોને એકાદ વરસ નું જ ના હોય દેખવુંય નહીને દાઝવુંય નહિ.એટલે પાછા વળી બીજા કહેશે એમાં શું થયું આ બાઈ માણસ આપણા માટે તો બનાવ્યું છે.એક ના જુવે ને બીજા વધારે જુવે,એમ બેલેન્સ જળવાઈ જાય. 
                *આ થોડા મહિના પહેલા અમારા એક ન્યાતીલા(સમ્પ્રદાય ના વડા) ની સભા હતી.કોઈ ભાઈ આગળ ખુરશી બેસી ગયેલા.અમારા એક સંતે(ઓરેન્જ કલર ધારી) ઉભા થવા કીધું કે ભાઈ આ ખુરશી વધારે દાન આપ્યું હોય તેના માટે છે.પેલા ભાઈ કહે તું મને ઓળખે છે?સંતે કીધું જે હોય તે ખુરશી ખાલી કરો.પેલા ભાઈએ ધરાર સંત ને ખેંચી ને થપ્પડ મારી દીધી.સંત બિચારા ગબડી ગયા.પછી ખબર પડી એ ભાઈ કાયમ એમની જીપ મફતમાં મદિર ના કામ માટે આપતા હતા,ને પાછા રાજપૂત હતા.રાજપૂત નું લોહી આવું ગરમ હોય,પેલા સંતે જરા સમજવું જોઈતું હતું.ખોટી ધંધા પર અસર પડેને.(ગાંધીનગર માં બનેલી સત્ય ઘટના) 
             *તિલક કરતા ત્રેપન થયા,મને(ભુપેન્દ્રસિંહ રાઓલ ને) પણ પહેલી જાન્યુઆરીએ તિલક(અંધ માન્યતાઓ) ને વખોડતા વખોડતા ત્રેપન પુરા થયા.બ્લોગ જગત ના ખેરખાંઓ એ મારા બ્લોગ(કુરુક્ષેત્ર) ને “બ્લોગ ઓફ ધ ડે” જાહેર કરી મને અહોભાગી બનાવ્યો છે,સાથે સાથે મારા જન્મદિવસ નિમિત્તે અમુલ્ય ભેટ પણ આપી દીધી છે.ગુજરાતી બ્લોગ જગત નો ખુબ ખુબ આભાર.પણ ઉપર નું લખાણ વાચી કોઈ ખોટું ના લગાડતા.મહાત્માઓ એ બંધ કરેલી વિચારવાની બારીઓ ખોલવાનો એક નમ્ર પ્રયાસ માત્ર છે.  
                           

12 thoughts on ““તિલક(અંધ માન્યતાઓ) વખોડતા ત્રેપન થયા”….”

  1. ભાઈ ભુપેન્દરસિંહ
    સરસ રજૂઆત કરી છે મજા આવી ગઈ ! પરંતુ આ દેશમાં અંધ શ્રધ્ધા અને ગુરૂ ભક્તિ એટલી તો દ્રધ થઈ ચૂકી છે કે નીકળવાની કોશિશ કરનાર પણ પેલા કળણમાંથી નીકળવા માટે ફાંફા મારનારની જેમ વધુ અને વધુ ખૂંપતો જાય છે. અલબત્ત આપણાં વિચારો વહેતા કરવાથી આપણને આત્મ સંતોષ મળી રહે છે પઅને આજે નહિ તોક્યરે ક પણ આવા વિચારો કેટલાક ઉપર તો અસર કરશે અને વિચારતા થશે તેવી મનોમન અપેક્ષા રહે છે. કોઈકે તો સાચી વાતની રજૂઆત કડવા થઈને પણ પેલા બાળકને રાજા નાગો દેખાયો તેમ કરવી જ રહી અને મારા મતે તે જ સમાજ તરફનું ઉતરદાયિત્વ નીભાવ્યું ગણાય ! અસ્તુ ! ફરીને ધન્યવાદ !
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

    1. શ્રી અરવિંદ ભાઈ,
      આપનો ખુબ અભાર,આપને પૂછ્યા વગર આપનું નામ આ લેખ માં વાપર્યું છે.પણ આપને લેખ વાચી મજા આવી એટલે વાંધો નહિ હોય.લેખ ને થોડું ઉમેરી અપડેટ કર્યો છે,ફરી વાચવા વિનંતી છે.થેન્ક્સ.

      Like

  2. માન.ભુપેન્દ્રસિંહજી, પ્રથમતો વર્ષગાંઠ મુબારક. સુંદર અને મનનીય લેખ, અખાનાં સમયે પણ, હાલ જેવુંજ, અંધશ્રધ્ધા અને વ્યક્તિપૂજાનું મહત્વ વધુ હશેજ, આપે અખાને માધ્યમ બનાવી જે મર્મસભર ચર્ચાઓ લખી તે ભારે ગમી. મેં મારી મતી પ્રમાણે, અખાનાં છપ્પાઓનો થોડો અભ્યાસ કરેલ અને હાલ ’વિકિસોર્સ’ પર તેનું સંકલન કાર્ય, સમય મળ્યા પ્રમાણે, કરે રાખું છું. વાંચકમિત્રોને વધુ છપ્પાઓ ત્યાં વાંચવા મળે તે આશયે અહીં લિંક આપું છું.
    ** http://wikisource.org/wiki/અખાના_છપ્પા **
    આવા સુંદર અને ઉપયોગી લેખો વાંચવા મળતા રહે તેવી અભ્યર્થનાસહ: આભાર.

    Like

    1. શ્રી અશોકભાઈ,
      થેન્ક્સ,,અને તમારું કામ વેબ્સાઈટ પર જોઈ લીધું.સરસ છે.ગુરુઓની પક્કડ એટલી બધી મજબુત છે કે અખાભાઈ ને આપણાં જેવાની તતુડી કોણ સાભલવાનું?

      Like

      1. માન.ભુપેન્દ્રસિંહજી, યોગાનુયોગે ગઇ કાલે જ મારા એક આપસમ વિચારો ધરાવતા મિત્રને મેઇલમાં કોઇક શાયરનો શેર ટાંકેલો, જે અહીં મુકું છું.
        “કૌન કહેતા હૈ આસમાનમેં છેદ નહીં હો શકતા |
        એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો ||”
        જો ખોટા સિક્કાઓ પણ અહીં ચાલી જતા હોય તો સુવર્ણમુદ્રાઓએ આશાવાદી ન બનવાનું કોઇ કારણ મને દેખાતું નથી. આમે કહે છેને કે દુધને સાચવવા માટે કંઇ કેટલા ઉપાય કરવા પડે છે, પરંતુ બગાડવા માટે તો છાસનું એક ટીપું પણ ઘણું છે. અને આપણે સૌએ તો એ બગડેલ દુધ (દહીં) ને વલોવી અને તેમાંથી પણ માખણ ઉતારવાનું છે. અશક્ય નથી.

        Like

        1. શ્રી અશોકભાઈ,
          સાચી વાત છે.એક બીજ નાખોતો કોઈક દિવસે વૃક્ષ બની ને ઉભું થવાનું છે.૪૦૦ વરસ પહેલા અખાજીએ એક બીજ નાખ્યું હશે,વૃક્ષ નહીતો છોડ બનીને આપણાં જેવા અનેકોના મનમાં ઉગી નીકળ્યું છે.આજે નહિ તો કાલે વૃક્ષ થવાનું છે જ.સવાલ ફક્ત સમય નો છે.આભાર.

          Like

  3. અખો (૧૭ મી સદી મધ્ય) ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ માંનો એક છે.સલ્તનતી સમયગાળામાં ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં અખાની ગણના થાય છે.
    અખાએ જેતલપુર થી અમદાવાદ વસવાટ કર્યો (૧૬૦૦-૧૬૫૫).આજે પણ ખાડિયાની દેસાઇ પોળનું એક મકાન “અખાના ઓરડા” તરીકે ઓળખાય છે,જે આપણને ગુજરાતનાં આ બહુ શરૂઆતનાં સાહિત્યકારો માંનાં એકની યાદ અપાવે છે.
    જીવનના શરૂઆતના ગાળામાં તે સોની હતો. પછીથી પોનાની ધર્મની બહેનથી વિશ્વાસઘાત થતાં તેનો સમાજ પરથી લિશ્વાસ ઉડી ગયો. તેણે એક ગુરૂનું શરણ લીધું.પણ જ્યારે અખાને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધીજ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.
    I recall visiting the place.Our secendary school years were in ખાડિયાની દેસાઇ પોળ and friends lived in ખાડિયાની દેસાઇ પોળ and Gotini sheri.

    Like

    1. માનનીય શ્રી,
      આપનો આભાર.હું પણ ભદ્ર થી ચાલતો ચાલતો માણેકચોક થઇ ખાડિયા ની બધી પોળો જોતો જોતો ગીતામંદિર જતો.સ્કુલ માંથી જ મને અખાની કવિતાઓ વધારે ગમતી.આતો મને ત્રેપન પુરા થયા એટલે પેલી કવિતા યાદ આવી ગઈ.ખેર આપનો ફરીથી આભાર માની લઉં,બ્લોગ ની મુલાકાત બદલ.

      Like

  4. સાહેબ .
    અહી થોડુ ઉમેરવાની ઈચ્છા થઈ છે તો માફ કરજો, ૩૩ કરોડ દેવી-દેવતા હતા જ નહી ૩૩ કોટી યાને પ્રકાર કોટી ના બે અર્થ થાય છે.૧-કરોડ ૨- પ્રકાર …..૨૭ નક્ષત્ર + ૬ અન્ય જેવા કે વરુણ, આપા, સુર્ય, રુદ્ર,વાયુ … માફ કરજો બે નામ હાલ યાદ નથી… યાદ આવતા જણાવી દઈશ …. આ બધાનો સંર્દભ અવકાશ સાથે હતો યાને ખગોળીય બાબત જોડે. બીજા શબ્દો માં જોઈ એ તો અવકાશ અને વાતાવરણની પરિભાષા હતી નહી કે ઈશ્વર…. દેવ એ ઈશ્વર નો પર્યાય વાચી શબ્દ નહોતો… પાછળથી ઘુસી ગયો છે..દેવી તત્વ યાને પ્રાક્રુતિક તત્વ જે બ્રમ્હાંડ અને આપણા સૌ મંડળની આસપાસ છે તે …બીજો અર્થ માણસનો એક પ્રકાર ….માફ કરજો આવુ લખવાનુ મેં તો ૯૪ થી સાવ બંધ કરી દીધુ હતુ… અચાનક તમારી મુલાકતા એક શેર ના સંદર્ભે થઈ અને તમારુ બ્લોગ્ નુ સરનામુ મળતા વાંચવા સાથે મારી કલમ સળવળી ગઈ…

    Like

    1. 33 પ્રકારના દેવતા બરોબર છે.પણ લોકો ક્યા માને છે?શેરના સંદર્ભમાં મેં મજાકમાં વિજ્ઞાન ઠાલવ્યું હતું.કલમ સળવળી એતો સારું થયું ને?વેદોમાં સારું હોય તે જાણવા મળશે.

      Like

  5. અખાના ચશ્માએ આપના અંતરના દર્શન બહુજ સરસરીતે કરાવ્યા. સાહિત્ય એ સર્જકની
    આરસી એ સ્પષ્ટ સમજાયુ . વાચવાની મજા આવી ગઇ.સ્ક્રીજોફેનિયા નાથઇ જાય તેનુ
    ધ્યાન રાખવુ પડશે. અભાર આવા જીવન સુધારક લેખો બદલ. અખાનુ અધૂરુ આપ પૂર્ણ
    કરશો એમ લાગે છે. આપ આબાબતની એક કૉલમ ભારતના વર્તમાંપત્રોમા ચાલુ કરો
    એવુ મારુ માનવુ છે , આપને શુ લાગેછે? લોકો વધુ જાગૃત થઇ શકે.

    Like

    1. અનિલાબેન.
      સ્થાપિત સ્કીજોફ્રેનીક લેખકો,સાક્ષરો અને પત્રકારો જાણીતા ગુજરાતી સમાચાર પત્રોમાં અડ્ડો જમાવી બેઠા છે તેમાં અમને કોઈ સ્થાન આપે નહિ.બીજું આવું બધું છાપતા તંત્રી પણ ડરે.છતાં એક નવસારીના પટેલ જીતેન્દ્ર ભાઈએ લોકલ ન્યુઝ પેપર ચાલુ કર્યું છે તેમાં મારા લેખો છાપવાનું સાહસ કર્યું છે.સ્કીજોફ્રેનીયા વિષે વધુ વાંચવું હોય તો મારા મેલ બ્રેઈન અને ફીમેલ બ્રેઈન વાળો તથા ભક્તોની ભરમાર વાળો લેખ વાંચી લેશો.અને આપનો અમુલ્ય પ્રતિભાવ પણ આપશો.આભાર.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s