સત્ય નો ઘાંટો શું કામ??થપ્પડ કેમ નહિ?

સત્ય નો ઘાંટો શું કામ?? થપ્પડ કેમ નહિ?
     *સત્યને પણ ઘાંટો પાડી  બોલવું પડે છે. ઘાંટા કોઈ સંભાળે છે ખરું? હવે સત્યની થપ્પડની જરૂર છે. ઘાંટાનો જમાનો ગયો. ઘાંટાથી લોકો ટેવાય ગયા છે. બ્રેઈનના કેટલાક નિયમો છે. કોઈ જગ્યાએ તમે જાવ ત્યારે કોઈ નવી સુગંધ કે દુર્ગંધ પહેલી વાર આવે છે, પછી ત્યાં તમે વધારે વાર ઉભા રહો એટલે બ્રેઈન એની નોધ લેવાનું બંધ કરી દે છે. પરફ્યુમ  કે ગટરની સ્મેલ તો હવામાં ફેલાવાનું ચાલુ જ છે પણ બ્રેઈન નોંધ લેતું નથી. એટલે તો ઝુપડ પટ્ટી ને ગટર ગંગાને કિનારે લોકો આરામથી રહી શકે છે. અવાજનું પણ એવુજ છે. હું હમેશા લખું છું કે પ્રજા કાયર બની ચુકી છે. ત્યાં ઘાંટા હવે સાંભળવાના નથી. એમના બ્રેઈન હવે નોંધ લેતાજ નથી. હવે દરેક વખતે થપ્પડની જરૂર છે. પછી આ કાયરો થપ્પડથી પણ ટેવાઈ જશે. મેં હમણાજ લખ્યું હતું કે જ્યાં પ્રજા કાયર હોય ત્યાં ગુંડાઓ પૂજાય છે, હીરો બની જાય છે. એટલે જયારે રાજ ઠાકરે કે બાળ ઠાકરે જેવા એમના અંગત રાજકીય સ્વાર્થ માટે આનો ઉપયોગ કરે છે ત્યારે આપણને એ લોકો સારા લાગે છે. એ પણ સ્વાભાવિક છે.
           *પરદેશમાં આપણું કોઈ બળ નથી.મતલબ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણું કોઈ વજન પડતું નથી, ઉપજતું નથી. કેમ?બધા દેશોને ખબર છે ભારત કશું કરી શકવાનું નથી કે બોલી શકવાનું નથી. ઓસ્ટ્રેલીયામાં ભારતને બદલે કોઈ અમેરિકન વિદ્યાર્થીનું ખૂન થયું હોત તો? ઓબામાં લાલ આંખ  કરી તરત જ ઓસ્ટ્રેલીયાના વડાપ્રધાનને ખખડાવી નાખત એવી શક્યતા છે. જેવા સાથે તેવા થવું પડે. હું એવું નથી કહેતો કે આપણે પણ મર્ડર કરવા જોઈએ, પણ આપણાં હાથમાં હોય તે તો કરી શકાય. પ્રેમ અને યુદ્ધમાં બધું સારું જ ગણાય. આપણે ઓસ્ટ્રેલીયાનો ક્રિકેટમાં બહીષ્કાર કરી શકીએ. કરવો જ જોઈએ. પાકિસ્તાનનો પણ ક્રિકેટમાં બહિષ્કાર કરવો જોઈએ. આઈ પી એલ જ શું કામ બધેજ વિરોધ કરવો જોઈએ.  આઈ.સી.સી. ભારતના બી.સી.સી.આઈ પર જ ચાલે છે. સૌથી વધારે રીચ બી.સી.સી.આઈ. છે. ખાલી ભારત ક્રિકેટ રમવાનું બંધ કરે તો આ લોકો કમાઈ રહ્યા. બીજા દેશોમાં તો ઠીક , અરે ખુદ ક્રિકેટના જન્મ દાતા ઇંગ્લેન્ડમાં ક્રિકેટ નું ખાસ મહત્વ  નથી. ત્યાં પણ ફૂટબોલ વધારે જોવાય છે. પણ પછી  આપણી કાયરતાનું શું થાય?
                *કાશ્મીરી પંડિતોનું તો આ દુનિયામાં કોઈ છે જ નહિ. આ પંડિતોના વારસદારો ભારત પર સૌથી વધારે સમય રાજ કરી ગયા(નહેરુ ફેમીલી). અરે ગર્જનાઓ કરતા હિંદુ ધર્મના રખેવાળો(ભાજપા) પણ રાજ કરી ગયા. છતાં કઈ થયું? અરે ૧૯૭૧ના યુદ્ધમાં બહાદુરીથી ભારત માટે લડેલા 54 મીલીટરી અફસરો પાકિસ્તાન  જેલમાં સબડી, યાતનાઓ ભોગવી મરી ગયા, કે જીવે છે, કોઈ ને ખબર નથી. એના પુરાવા પણ એમના સગાવહાલાઓએ આપેલા. ભારતના પકડાએલા માછીમારોએ નજરે જોએલાના પુરાવા  હતા પણ કોઈ સરકારોએ આ અફસરોને છોડાવવાના પગલા ના લીધા. આ સ્ટોરી સંદેશમાં છપાઈ ચુકી છે. એમાં ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના ચાંદરણી ગામના કેપ્ટન કલ્યાણસિંહ રાઠોર પણ હતા. એ જીવતા હશે કે દેવલોક પામ્યા હશે, એ પણ એમના કુટુંબીજનોને ખબર નથી. એમના મોટાભાઈ  શ્રી દિલીપસિંહજીની નાનાભાઈની રાહ જોતી  આંખોમાં રહેલી અસીમ વેદના આપણી  આંખોમાં પાણી ના લાવી દે તો  આપણાં જેવો કોઈ નિષ્ઠુર બીજો હોઈ શકે? એના પરથી બચ્ચન સાહેબનું દીવાર નામનું મુવી બનાવી , બચ્ચન સાહેબને અક્ષય ખન્ના બધા અફસરોને પાકિસ્તાનની જેલમાંથી છોડાવી લાવ્યા એવું બતાવી દંભી, જુઠો આનંદ મનાવી લીધો, ને રૂપિયા  પણ સાથે સાથે કમાઈ લઈને પેલા રાહ જોતા કુટુંબીજનો ની ભાવનાઓ સાથે રમત રમી લીધી. કાયરો બીજું શું કરી શકે? અમે જીતી ગયા એવી નાના બાળકોની રમત રમી લીધી. એક પણ અફસરને ભારત સરકાર છોડાવી શકી નથી. સાચી હકીકત રૂપ ૧૯૭૧ નામનું મુવી ફેલ ગયું ને ખોટો બધાને છોડાવ્યાનો અંત દર્શાવતું મુવી સફળ થયું. સમજાય છે કોઈને લોકોની કાયર માનસિકતા?  જુઠા સપનાઓમાં કાયરો વિજય મેળવી લે છે.
           *મેં ખાલી ભયાનક લુટારા પીંડારાઓને હીરો બનાવતા ‘વીર’ મુવી વિષે સાચી હકીકત  જણાવતો લેખ લખી દિવ્યભાસ્કરમાં અભિપ્રાય તરીકે આપ્યો છે તો એ લોકોએ છાપ્યો નથી. પીંઢારાઓના બધા નેતાઓ મુસલમાન પઠાણો હતા ને છુપાવેલા ધનની માહિતી કઢાવવા નાના બાળકોના તલવારથી બે ભાગ કરી નાખતા, આવા લુંટારાઓને સ્વતંત્રતાના લડવૈયા બતાવ્યા છે, તો સાચી વાત છાપવા દૈનિકો તૈયાર નથી, કેમ?સલમાનખાન નારાજ થઇ જાય તો?
           *એટલે જયારે કોઈ રાજ ઠાકરે ભલે એના સ્વાર્થ માટે કોઈને થપ્પડ મારે તો આપણને સારું લાગે છે, કેમ? આપણાંમાં એટલી હિંમત પણ નથી, થપ્પડ તો ઠીક પણ સાચું કહેવાની હિંમત પણ નથી. એટલે આપણી અંદર રહેલો ડર બે જાતની દિશાઓમાં વહેચાઈ જાય છે. એક તો રાજ ઠાકરે જેવા કરે એને વ્યાજબી માનવા લાગે છે, અને બીજા માનવ અધિકારની વાતો કરી સામો પક્ષ નારાજ ના થઇ જાય તેની ચિંતા કરે છે. પણ આખરે તો બંને એકજ નાવમાં સવાર છે.
            *માતૃભાષા ગુજરાતી બચાવવાનું અંદોલન સાડા પાંચ કરોડના ગુજરાતમાં કરવું પડે, એના જેવી બીજી કઈ કરુણતા હોઈ શકે? થોડા ઘણા હાઈ ફાઈ લોકોના સતત અંગ્રેજી  બોલવાથી ગુજરાતી ભાષા મરી જવાની નથી જ. એવા લોકો કેટલા? અને થોડાક જ બધા નહિ, એન.આર.આઈ.ગુજરાતી નહિ બોલે તો પણ ગુજરાતી નથી મરી જવાની. ગુજરાતી તો ગુજરાતના હજારો ગામડાઓ  થકી બચવાની જ છે. એટલું કરો કે આ લોકો શુદ્ધ બોલે ને લખે, તો પછી છોને કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકો અંગ્રેજી ફાડતાં? અંદર ખુમારી ના હોય એવા લોકોજ આવા દંભ ને દેખાડો કરતા હોય છે. આપણી ભાષા બોલવામાં શરમ શેની? ભાઈ અમારા ન્યુ જર્સીના ડો.પંકજ પટેલ તો અમારી સાથે ગુજરાતી બોલવામાં જરાય નાનમ સમજતા નથી. કે નથી ગુજરાતી બોલવામાં નાનમ સમજતા ઓર્થોપેડિક  ડો.મોહનીશ રામાની. આમારા ફીઝીયો થેરાપીસ્ટ ડો.પૂર્વી પીઠવાના મોઢે તો વૃદ્ધ માજીને બા ચાલો, બા  હવે આ કસરત કરો, બા આવજો, બા જયશ્રી કૃષ્ણ એવું જ સાંભળવા મળે. આવું તો કદાચ ગુજરાતમાં પણ કોઈ નહિ બોલતું હોય. આપણી માનસિકતા બદલીશું તો રાજ ઠાકરેની જરૂર નહિ પડે.

2 thoughts on “સત્ય નો ઘાંટો શું કામ??થપ્પડ કેમ નહિ?”

  1. Dear Sir,
    your all articles are very very informative and useful to think about the FACT about India and its real situation.

    Bravo !!!!! All the Best 4 boldness !

    Like

  2. રાઓલજી, આવી જ વાત અભિયાન ૧૯૯૪ માં એક લેખના પ્રતિભાવ રૂપે કહી ચુકયો છુ, જ્યારે ગુજરાત કે મુંબઈના બે ગુજરાતી ભેગા થસે તો પ્રારંભિક વાક્યજ ગુજરાતીમાં હશે. … છતા ગુજરાતી ભાષા જીવશે જ કારણ એક પુર્ણ અને લયબદ્ધ ભાષા છે જેના પર fb માં મારી નોટસ વાંચી શક્શો.અને શિખંડીની ફોજ જેવા છે આપણા અમુક દૈનિક વર્તમાન પત્ર.પ્રતિભાવ છાપતા ડરે છે, અને અખબાર લઈને બેઠા છે… આવા લોકો સમાજને આયનો શુ બતાવશે??? સત્યને કેન્દ્રમાં રાખી સમાજ ને શુ દિશા આપી શકશે??????? અંતે ભલુ થજો કે નેટ આવ્યુ તેનુ અહી બ્લોગ અને એફસબૂક પ્રવર્તમાન સૌથી તાકાત વર માધ્યમ છે અને સાબીત થશે

    Like

Leave a comment