Category Archives: વિચારવા વિનંતી

પાંદડું હોય કે માનવી ખરે પછી જ સડે

11267706_10205074809042573_1309709803_n

મિત્રો આપણે સ્કૂલમાં ભણતા ત્યારે ગુજરાતી વિષયમાં કોઈ પ્રખ્યાત લેખકની નવલકથાનું એકાદ પ્રકરણ હોય, કોઈ ટૂંકી વાર્તા કે કવિતા પાઠ રૂપે હોય. તે આપણે બધા ભણતા. લેખક તો જે કહેવા માગતાં હોય તે વાત જુદી છે પણ શિક્ષકશ્રી પોતાની માનસિકતા મુજબ એના અર્થ સમજાવતા. એનો એકાદ ફકરો કે અમુક પંક્તિઓ મુકીને પૂર્વાપર સંબંધ આપી સમજાવો તેવા પ્રશ્નો પરિક્ષામાં પુછાતાં.. સ્કૂલમાં હતો ત્યાં સુધી ગુજરાતીના વિષયમાં મારા સૌથી વધુ માર્ક્સ વર્ગમાં આવતા. પરીક્ષાના પરિણામો લઈ ક્લાસ ટીચર આવે અને કયા વિષયમાં કયા વિધાર્થીના હાઈએસ્ટ માર્ક્સ આવ્યા તે સૌથી પહેલા જણાવતા. ગુજરાતી અને ઈતિહાસ વિષય આવે એટલે શિક્ષક બોલે તે પહેલા બીજા મિત્રો રાઓલ રાઓલ એમ બોલી ઉઠતા.

 

 

આજે ફરી તે દિવસો યાદ આવ્યા છે. ચાલો આપણે સહુ સ્કૂલનાં દિવસો ફરી પાછા માણીએ.

ઉપર આપણા ગુજરાતના બહુ સારા ચિંતક ગણાતા પદ્મશ્રી એવોર્ડ મેળવનાર લેખક શ્રી ગુણવંત શાહની રચના છે. એના ઉપર વિથ રીસ્પેક્ટ ટિપ્પણી કરવી છે. ટિપ્પણી એટલે નકારાત્મક ટીકાનાં અર્થમાં લેવું નહિ. કારણ ટીકા એટલે આપણે નકારાત્મક જે તે વિષયનો વિરોધ જ સમજી બેઠાં છીએ. ટીકા કે ટીપ્પણી નો અર્થ એવો થાય કે લેખક જે સમજતા હોય, મારી સમજ પ્રમાણે અર્થ આવો છે. એમાં લેખકનાં અર્થ સાથે સહમતી પણ હોય અને અસહમતી પણ હોઈ શકે. લેખકના અમુક અર્થ સાથે સહમતી સાથે અમુક અર્થ સાથે અસહમતી પણ હોઈ શકે. ચાલો હવે ઉપરની રચના માટે મારી ટીપ્પણી.

“પાંદડું ખરી પડે પછી સડે છે,

પુષ્પ ખરી પડે પછી સડે છે.”

બરોબર છે. ખરી પડવું મતલબ મૃત્યુ. પાંદડું અને પુષ્પ ખરી પડે મતલબ એના મૂળિયાથી જુદા પડ્યા અને ખરી પડ્યા મતલબ હવે એમનો જીવનકાળ પૂરો થયો પછી કુદરતના રીવાજ મુજબ સડી જઈને રિસાયકલ થઈ જવાનું મતલબ પંચમહાભૂતમાં મળી જવાનું. દરેક વસ્તુ રિસાયકલ થઈ જાય તે કુદરતની મહત્વની પ્રક્રિયા છે. કોઈ વહેલી થાય કોઈ મોડી પણ રિસાયકલ તો થઈ જ જાય. ફન્ગાઈ જેને આપણે ફૂગ કહીએ છીએ તે ઝાડપાન, લાકડાનું રિસાયકલ કરી નાખે છે. જીવજંતુ, પ્રાણીઓ એમાં મનુષ્યો પણ આવી જાય તેમના મૃતદેહમાં કીડા પડી સડી જાય છે અને તેનું રિસાયકલ થઇ જાય છે. મતલબ મૃત્યુ પછીની પ્રક્રિયા છે સડવાનું. આપણે મનુષ્યોએ આપણા મૃતદેહોની નિકાલ વ્યવસ્થા શોધી કાઢી છે. માટે સડવાની પ્રક્રિયા દેખાતી નથી. છતાં કોઈ કારણસર લાશ પડી રહે તો એમાં કીડા પડી જાય છે તે હકીકત છે.

“માણસ સડી જાય પછી ખરે છે આવું શા માટે?”

આમ તો ખોટી વાત છે. માણસ પણ ખરી જાય, મૃત્યુ પામે પછી જ સડે છે, જો તમે બાળો કે દાટો નહિ તો. જો કે દાટો ત્યારે સડે જ છે પણ જમીનની અંદર હોવાથી દેખાય નહિ તે વાત જુદી છે. કદાચ શાહ સાહેબે ભાવનાત્મક રીતે લખ્યું હશે કે માણસ મનથી સડી જાય પછી ખરે છે. બાકી પુષ્પ, પાંદડું અને માનવી બધા પહેલા કમજોર પડે છે, કરમાઈ જાય છે. માનવી વૃદ્ધ બને છે તે પણ કરમાઈ જાય છે. પછી બધા ખરી પડે છે અને પછી સડી જઈને રિસાયકલ થઇ જાય છે. માનવી વૃદ્ધ બનતા મનથી કમજોર પડી જાય, શરીરથી કમજોર પડી જાય તેમ પુષ્પ અને પાંદડું પણ કમજોર પડે જ છે. રમણ પાઠક જેવા માનવીઓ મનથી પણ કદી કમજોર પડતા નથી. ઘણીવાર સારા વિદ્વાન લેખકો સારા Quote કોટ લખવાની લ્હાયમાં અવાસ્તવિક વાતો લખી નાખતા હોઈ શકે છે. માનસિક રીતે સડેલો માનવી તો જુવાનીથી જ સડેલો હોય છે. ઘરડો થાય પછી સડે તે વાતમાં માલ નથી. અને શારીરિક રીતે માનવી ઘરડો થાય એટલે કમજોર પડે પણ સડવાની પ્રક્રિયા તો મૃત્યુ પછી જ જૈવિક રીતે થાય. એટલે માણસ સડી જાય પછી ખરે છે તેવું નથી હોતું માણસ પણ પાંદડાંની જેમ ખરી પડે પછી જ સડતો હોય છે.

“હે પ્રભુ !

સ્વજનો મારી દયા ખાય તે પહેલાં તું મારી એક દયા કરજે. જીવનને સમજવામાં હું ભલે મોડો પડ્યો પરંતુ મૃત્યુને પામવામાં મોડો ન પડું એટલી કૃપા કરજે.”

સ્વજનોનું એક કામ તો મુખ્ય જ હોય છે કે આપણી દયા ખાવી. એટલે એ બધી ચિંતા કરી શું કામ દુબળા થવું? જીવન બહુ જટિલ વસ્તુ છે. આપણા બ્રેન બહારની અમુક બાબતો હોય છે. એટલે જીવનને સમજવામાં મોડા પડવું તે સ્વાભાવિક છે. ભલા ભલા કહેવાતા જ્ઞાનીઓ જીવનના ચક્કરને સમજી શકતા નથી. ભલે મોડા પડ્યા, સમજ્યા છો એવું લાગતું હોય તો પણ બહુ કહેવાય. અને મૃત્યુ તો એના સમયે જ આવશે. એક બહુ મહત્વની વાત છે હું તો નાસ્તિક છું પ્રભુ વગેરેમાં માનતો નથી પણ તમે માનતા હો તો પ્રભુ જો ખરેખર એના ગુણોમાં અસ્તિત્વ ધરાવતો હોય તો તે કદી કોઈના ઉપર કૃપા કરે નહિ, ક્રુરતા પણ કરે નહિ. પ્રભુ નાં તો દયાળુ છે નાં ક્રૂર છે. પ્રભુ મારી ફેવર કરે અને મારી ફેવર કરવા જતા તમારી ફેવર નાં કરે તો તે પ્રભુની વ્યાખ્યામાં આવે જ નહિ. આવો પ્રભુ મને તો માન્ય નથી. એટલે શાહ સાહેબ તમારો પ્રભુ તમારી મદદમાં આવવાનો નથી કે કૃપા કરવાનો નથી.

જેમ ઉંમર થવા લાગે તેમ મોત પ્રત્યે જાગૃતિ વધતી જતી હોય છે. બક્ષીબાબુ પણ પાછલી અવસ્થામાં મોત વિષે ખૂબ લખ્યા કરતા હતા. કારણ હવે આગળ કોઈ ભવિષ્ય બચ્યું નથી, સિવાય મોત. તો લખો પછી મોત વિષે. ઘણા આખી જીંદગી નાસ્તિક રહેલા મિત્રો પણ વૃદ્ધાવસ્થામાં આગળ મોત દેખાય એટલે આસ્તિક બની જતા હોય છે. ગરુડે ચડેલો ભગવાન દેખાતો હોય છે. ભક્તિભાવ, ધ્યાન, યોગ સાધનામાં પડી જતા હોય છે.

સૌથી મોટો જો કોઈ ભય હોય તો તે મોતનો છે. એ ભય દૂર કરવા અથવા મોતને જસ્ટીફાઈ કરવા ગીતા વાંચવાનું શરુ થાય છે. नैनं छिन्दन्ति शस्त्राणि રટવાનું શરુ થાય છે. એક આશ્વાસન કે મારો આત્મા તો મરવાનો નથી, ખાલી વસ્ત્રોની જેમ શરીર બદલવાનું છે. મર્યા પછી શું થાય છે કોઈને ખબર નથી.

“સાંજ પડે સૂરજ આથમી જાય તેમ આથમી જવા ઈચ્છું છું. હું સડી જાઉં તે પહેલાં ખરી પડવા ઈચ્છું છું.”

આમાં કાઈ નવું નથી. સૂરજ આથમે છે તેમ બધાં આથમે જ છે. કહીએ કે ના કહીએ. સડવાને જો કમજોર પડવું કહેતા હોવ તો તે તમે પડી ચૂક્યા છો કારણ મોતની વાતો કરવા માંડ્યા છો.

મિત્રો પદ્મશ્રી ગુણવંત શાહને મેં ખૂબ વાંચ્યા છે. એમની ‘વિચારોના વૃન્દાવનમાં’ મારી પ્રિય કોલમ હતી. હવે તો એમનો ઉલ્લેખ નાં હોય છતાં એમનું લખાણ વાંચું એટલે ખબર પડી જાય કે આ શાહ સાહેબે જ લખેલું છે. ઘણા એમને સાહિત્યકાર માનવા તૈયાર નથી. કોલમિસ્ટ કે સ્તંભ લેખક તરીકે જ માને છે. ગુજરાતી સાહિત્ય સભા દ્વારા સ્થાપિત અને ગુજરાતી સાહિત્યમાં સૌથી ઉચ્ચ ગણાતો રણજીતરામ સુવર્ણ ચંદ્રક તેઓને ૧૯૯૭માં મળ્યો હતો. મને એમની આત્મકથા ‘બિલ્લો ટિલ્લો ટચ’ બહુ ગમી હતી. જોકે બહું વહેલી લખી નાખી હોય તેવું લાગ્યું હતું.  A1U1E7WLk8L

 

 

તકલીફદેહી તહેવારો

તકલીફદેહી તહેવારોimagesF9MJY4ZL

 

તમે સવારે ઉઠો, નિત્યક્રમ પતાવો, કામ પર જાઓ, સાંજે પાછા આવો, ખાઈ પીને સુઈ જાઓ. બીજા દિવસે ફરી પાછું એજ રૂટીન. આ ઘરેડ કંટાળાજનક હોય છે. એકધારાપણું જીવનમાં બોરડમ લાવે છે. માણસનું મન હમેશા કઈક નવું શોધતું હોય છે. રોજ નવું કરવું તે પણ ઘરેડ બની જતા વાર લાગે નહિ. એટલે વરસમાં વચ્ચે વચ્ચે આવતા તહેવારો આ કંટાળાજનક ઘરેડને તોડી ને જીવનમાં ઉલ્લાસ લાવતા હોય છે. તહેવારો જરૂરી છે. મોટાભાગે તહેવારો સમુહે મેળવેલા કોઈ વિજયની યાદગાર ઉજવણી હોય છે. જુના વર્ષની વિદાય અને નવા વર્ષના આગમનની ઉજવણી હોય છે. હોળી જેવા તહેવાર શિયાળાની કાતિલ ઠંડીને વિદાય દેવાની રીતરસમ હોય છે. હોળી જેવા તહેવાર જુદા સ્વરૂપે બીજા દેશોમાં પણ ઉજવાય છે. એમાં સ્વાભાવિક પ્રહલાદ કે હોલીકાની ગેરહાજરી હોય છે. આમ વખતો વખત આવતા તહેવારો જીવનમાં ઉમંગ ઉત્સાહ અને આનંદ ભરી દેતા હોય છે.

પણ આપણે તહેવારોને તમાશા બનાવી દીધા છે. તહેવારોને ધર્મના બહાને તકલીફદેહી બનાવી દીધા છે. આપણું મનોરંજન બીજા માટે ત્રાસદાયક બની જાય તે સર્વથા અયોગ્ય જ કહેવાય. બે તહેવારો વચ્ચે એક પુરતો ગાળો હોવો જોઈએ એના બદલે તહેવારોની શ્રુંખલા એક પછી એક ચાલુ જ હોય છે. તહેવારોની શ્રુંખલા વધતી જાય એટલે ઘરેડ બનતા વાર લાગે નહિ. કંટાળાજનક ઘરેડમાંથી મુક્ત થવા રોજ નવું નવું શોધવાનું. હમણા ગણેશોત્સવ ચાલી રહ્યો છે તે હવેગણપતિ વિસર્જન સાથે પૂર્ણ થશે. અમે નાના હતા ત્યારે ગણપતિ ચતુર્થી આવીને જતી રહેતી ખબર પણ નહોતી પડતી. જન્માષ્ટમી નો મેળો માણી સીધી નવરાત્રી માનવતા. ગણેશોત્સવ મહારાષ્ટ્રમાં પણ એટલો પ્રાચીન નથી. હા લોકો એમના ઘેર ગણપતિ સ્થાપન જરૂર કરતા, પણ આવો જાહેર દેખાડો નહોતો. ગુજરાતમાં તો ઘેર ગણપતિ સ્થાપન પણ કોઈ નહોતું કરતુ. મહારાષ્ટ્રમાં લોકમાન્ય તિલકે આ જાહેર ઉત્સવ શરુ કરેલો ત્યારે એક જાતનું શક્તિ પ્રદર્શન જ હતું. ગુજરાતમાં ખાલી વડોદરા શહેરમાં જ ગણેશોત્સવ થતો હતો, કારણ મહારાષ્ટ્રમાં શરુ થયેલો આ ઉત્સવ મહારાષ્ટ્રિયન પ્રજા માટે ખાસ હતો અને વડોદરામાં મહારાષ્ટ્રિયન વસ્તી વધુ છે. જેમ કે ગુજરાતી ગમે ત્યાં જાય એમનો ગરબો જોડે લઈ જ જવાના. એ ન્યાયે ખાસ મહારાષ્ટ્રમાં ઉજવાતો આ તહેવાર વડોદરામાં વધુ પ્રચલિત હતો પુરા ગુજરાતમાં નહિ. હું વડોદરા ભણવા આવ્યો ત્યારે પહેલીવાર મેં ગણેશોત્સવની મજા માણી. ખેર તહેવારો મનાવવામાં કશું ખોટું નથી પણ તે ઉજવાતા બીજી સામાન્ય પ્રજાને તકલીફમાં મુકવી તેવું કોણે કહ્યું?

images20ODUUKRબીજાની ફિકર કરવી આપણી ફિતરતમાં જ નથી. અહી એમ્બુલન્સ આગળ કોઈ બેફિકરાઈથી પોતાની કાર પાર્ક કરીને ચાલ્યો જતો હોય છે. એને એટલી ચિંતા નથી હોતી કે એમ્બ્યુલન્સને ગમે તે સમયે દોટ મુકવી પડે. અરે રસ્તે જતી એમ્બ્યુલન્સને રસ્તો સાફ કરી આપવાની પણ કોઈ દરકાર કરતુ નથી. ગણેશોત્સવ વખતે દુકાનદારોનું લગભગ આવી જ બને. પોતાને પૈસે તો આવા ઉત્સવ ઉજવાય નહિ. એટલે ચાલો દુકાનદારો પાસે ફંડફાળો ઉઘરાવવા. મેં પોતે જોયું છે કે એક દુકાનદાર પાસે દસ ગણેશમંડળ વાળા ફાળો ઉઘરાવવા આવી જાય. ના પાડવાનો સવાલ જ નહિ, દાદાગીરીથી ફાળો ઉઘરાવાય છે તે મેં જાતે જોએલું છે. વડોદરામાં ગણેશ વિસર્જન વખતે આખા ગુજરાતની પોલીસ ઠલવાઈ જતી. હવે આ ઉત્સવ બીજા શહેરોમાં પણ ફેલાયો છે. તમામ જાતના પ્રદૂષણો આવા ઉત્સવો વખતે ફેલાતા હોય છે આમાં ધરમ અને ભક્તિ ક્યા આવી?

ધરમની વ્યાખ્યા આપણે ત્યાં સાવ છીછરી થઈ છે. લોકો તમાશાને ધરમ સમજી બેઠા છે. જો આપણે દલીલ કરીએ તો સુજ્ઞ જનો તરત ઉકળી ઉઠશે કે ધરમ કાઈ આવું બધું શીખવતો નથી. પણ સામાન્યજન માટે તો આજ ધરમ છે. આવા તમાશા જ્ ધર્મ છે એનું શું? હવે નવરાત્રી આવશે અને પછી તરત દિવાળી. ઘણીવાર એવું થાય કે આ પ્રજા પાસે કોઈ કામ ધંધો છે કે નહિ? તહેવાર વગરનો એક મહિનો કોરો જાય નહિ. નવા વર્ષના આગમન નિમિત્તે ઉજવવા જેવો દિવાળીનો તહેવાર આવતા આવતા તો હાંફી જવાય. આપણે અંગતરીતે ઉજવવા જેવા તહેવારોને પણ જાહેર ઉત્સવ બનાવી દેતા હોઈએ છીએ. અહી અમેરિકામાં મેં જોયું છે ક્રિસમસ, ૩૧ ડીસેમ્બર અને ન્યુ યર જેવા તહેવારોમાં રસ્તા સુમસામ કોઈ ટ્રાફિક નહિ. લોકો પોતાના ફેમીલી અને મિત્રો સાથે ઘરોમાં પુરાઈને પાર્ટી કરતા હોય છે જ્યારે આપણે ત્યાં લોકો ઘરમાં ફેમીલી સાથે ઉજવવાને બદલે રોડ રસ્તા પર ઉતરી આવતા હોય છે. વર્ષમાં એક બે તહેવારો જાહેરમાં ઉજવાય તેમાં ય કશું ખોટું નથી પણ તમામ તહેવારોને જાહેર તમાશા બનાવી દેવા તેવું કોણે કહ્યું?

દિવાળીમાં મને યાદ છે પોળના અમુક બદમાશ પરપીડન વૃતિ ધરાવતા લોકો રોકેટ જેવા જોખમી ફટાકડા હવામાં આકાશ તરફ જાય તે રીતે નહિ પણ આડા ગોઠવીને કોઈના ઘરમાં ઘુસી જાય તેમ મુકીને ફોડતા. એમાંથી જગડા શરુ થતા. તહેવારો આનંદપ્રમોદ માટે મનાવવાના હોય કે કોઈને તકલીફ આપી એમાંથી આનંદ મેળવવાનો? ઘરોમાં ગમે તેટલા બારી બારણાં બંધ રાખો ધુમાડાથી ઘર ભરાઈ જાય શ્વાસ લેવાની તકલીફ થઈ જતી. કાન ફાડી નાખે તેવા માઈક વાગતા હોય. ધાર્મિક લાગણી દુભાઈ જાય એટલે પોલીસ કોઈ પગલા લે નહિ. બીમાર માણસની તો વાટ જ લાગી જાય. દિવાળી પહેલા એર પોલ્યુશન ઓછું હોય છે જે ફટાકડા ફૂટવાનું શરુ થાય તેની સાથે વધવા લાગે છે પણ આતશબાજી બંધ થયા પછી ૨૪ કલાક પછી આકાશમાં ગયેલું પોલ્યુશન પાછું ધરતી પર ફરે છે ત્યારે એર પોલ્યુશન પીક પોઈન્ટ ઉપર PM2.5 પહોચી ગયું હોય છે. જે દિવાળી શરુ થાય તેના પહેલા કરતા ચાર ગણું વધુ હોય છે. ગ્રાઉન્ડ લેવલ ઓઝોન પોલ્યુશન પણ ખુબ વધી ગયું હોય છે. દિવાળી જેવો મહત્વનો આનંદ માણવાનો તહેવાર આમ મહત્તમ પોલ્યુશનનો દિવસ આપણે બનાવી દીધો છે.

વ્યક્તિગત શ્રદ્ધા અને ભક્તિનો ગણપતિનો તહેવાર સામૂહિક બનાવી તકલીફ આપતો તમાશો બનાવી દીધો છે. નવરાત્રી જેવા સમુહમાં જ ઉજવાય તેવા તહેવારને કોર્પોરેટ બિજનેસ બનાવી દીધો છે. તહેવારો ઉજવવામાં કશું ખોટું નથી, પણ તમાશા બનાવ્યા વગર એનો અસલી આનંદ માણવો જોઈએ. આપણું મનોરંજન કોઈની તકલીફ ના બનવી જોઈએ. પણ કોઈની તકલીફમાંથી મનોરંજન માણવાની વિકૃતિ પાળી રાખી હોય તો પછી એનો કોઈ ઉપાય નથી.            

 

 

એક સારું ભણે અને બીજો નહિ. એક માતાની વ્યથા (રેડબડ ગામગપાટા, ન્યુ જર્સી-૪)

imagesLN4U7TBBએક સારું ભણે અને બીજો નહિ. એક માતાની વ્યથા (રેડબડ ગામગપાટા, ન્યુ જર્સી-૪)

 આજે ગામગપાટા મંડળીમાં શાંતિભાઈ આવે તો ગહન ચર્ચા કરવી હતી, પણ શાંતિભાઈ જરા મોડા પડ્યા હતા. શાંતિભાઈ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના અને ત્યાં કોઈ સ્કૂલમાં હાયર સેકન્ડરીમાં મનોવિજ્ઞાન ભણાવતા હતા. શાંતિભાઈ આવ્યા એટલે મેં તરત સવાલ કર્યો.

શાંતિભાઈ,  ‘એક ઘરમાં બે દીકરા હોય એક સારું ભણે સારી જૉબ લાગી જાય અને બીજો હોશિયાર હોવા છતાં ભણવામાં થોડો પાછળ પડે એટલે માબાપને ચિંતા થાય, એમની ઉછેરમાં ક્યાં ભૂલ થઈ તેવું વિચારતા હોય છે. પણ આમ થવાનું શું કારણ?’

પાંચ આંગળીઓ સરખી હોય ખરી? શાંતિભાઈ ધડામ દઈને બોલ્યા.

મેં કહ્યું શાંતિભાઈ શાંતિથી ઉત્તર આપો યાર મારે જરા વિગતથી જાણવું છે.

શાંતિભાઈ હસી પડ્યા, કહે શાંતિભાઈને શાંતિ રાખવાનું કહેવું પડે છે કેવો જમાનો આવ્યો છે નહિ?

મૂળ શાંતિભાઈ નામ પ્રમાણે શાંતિ રાખવાવાળા જ છે પણ મને એમને ચીડવવાનું ગમે એટલે કાયમ વાતે વાતે શાંતિ રાખો શાંતિ રાખો એવું કહ્યાં કરું. ઘણીવાર મને કહે મેં સવિતા રાખી છે હવે શાંતિ માટે જગ્યા નથી અને બે રાખું તો મારે જવું ક્યાં?

મેં હસતા હસતા કહ્યું શાંતિભાઈ એક ઓળખીતા બહેનની ફરિયાદ છે, એમને બે દીકરા છે. મોટો ભણીને કમ્પ્યુટર એન્જીનીયર બની યુ.કે.માં સારી જૉબ કરે છે. બીજો દીકરો આમ હોશિયાર હોવા છતાં ભણવામાં દસમાં ધોરણ પછી અચાનક પાછળ પડી ગયો છે. એને એન્જીનીયર બની પરદેશ જવું છે યુ.કે. અથવા અમેરિકા. માબાપ પૈસા ખર્ચવા સક્ષમ છે પણ એનું ભણવાનું દિવસે દિવસે કથળતું જાય છે. હવે આવા નબળા પર્ફૉર્મન્સ સાથે પરદેશ કઈ રીતે મોકલવો? પૈસા હોય પણ નાહક બરબાદ કરવા માટે થોડા હોય?

શાંતિભાઈ મૂળ શિક્ષક જીવ એકવાર કેસેટ શરુ થાય પછી બંધ કરવી મુશ્કેલ, પણ એમાંથી જાણવાનું ખૂબ મળે ઘણીવાર કેસેટ બંધ નાં થાય તેવું ઇચ્છીએ પણ ખરા.

શાંતિભાઈએ શરુ કર્યું, ‘ ઘણા દાખલામાં એવું બને છે કે સ્કૂલ લેવલ સુધી છોકરાં બહુ હોશિયાર હોય છે. પણ કૉલેજમાં આવ્યા પછી ડલ પડી જતા હોય છે. ઘણાને એની શરૂઆત દસમાં ધોરણ પછી પણ થઈ જતી હોય છે. મતલબ છોકરાં હોશિયાર તો છે જ પણ કૉલેજમાં કશું એવું થાય છે કે છોકરાં ભણવામાં પાછળ પડી જાય છે. ઘણા બધા કારણો હોઈ શકે. એક તો બાળકો યુવાનીના દ્વારે આ સમયે ટકોરા મારતા હોય છે તે સમયે શરીરમાં થતા હાર્મોનલ ફેરફાર બાળકોની માનસિકતા અસ્થિર કરી નાખતા હોઈ શકે. આ ફેરફાર ખાસ તો જાતીય આવેગો અને એના વિશેની અણસમજ બાળકોને સ્વાભાવિક અસ્થિર બનાવી દેતી હોય છે. જો કે ઘણા બાળકો આ બધું સહન કરી લેતા હોય છે અને ડગતા નથી તે લોકોના રિઝલ્ટમાં બહુ ફેરફાર જોવા મળે નહિ. આ બધું બાળકની માનસિકતા પર આધાર રાખતું હોઈ શકે છે. એટલે સ્કૂલમાં બહુ હોશિયાર ગણાતું બાળક કૉલેજમાં અસફળ રહેતું પણ જોવા મળતું હોય છે. બીજું સ્કૂલ અને કૉલેજનું આખું વાતાવરણ જુદું હોય છે, કૉલેજમાં સ્વતંત્રતા વધુ હોય છે. આમાં પણ બાળક સ્થિર મગજ ધરાવતું નાં હોય તો મિત્રોને રવાડે ચડી જવાનો ભય પણ રહેતો હોય છે. મિત્રો બહુ મોટો ભાગ ભજવતા હોય છે. એક વિદ્યાર્થી માટે સ્કૂલના સહાધ્યાયીઓ એમનો સમૂહ છે. અને મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા હોય છે. સમૂહ બહાર કોઈ ધકેલી દે તો એમનું મેમલ બ્રેન થ્રેટ અનુભવતું હોય છે. માટે સામાજિક સ્વીકાર મેળવવા માટે છોકારાઓ એમના ગ્રૂપના લીડરને અનુસરતા હોય છે અથવા એમના પ્રભાવમાં જીવતા હોય છે. હવે આ ગ્રૂપ લીડર જો સારો હોય તો બરોબર એના મિત્રોને વધુ સારું ભણવા પ્રેરી શકે અથવા પોતે રખડેલ હોય તો અવળે રસ્તે પણ ચડાવી શકે. માબાપે એમના સંતાનના મિત્રો કેવાં છે તેનું બહુ મોટું ધ્યાન રાખવું જરૂરી છે. ડોમિનન્ટ બગડેલા મિત્રો ભલભલાં હોશિયાર છોકરાને રિઝલ્ટમાં ધબડકો વાળવા કારણભૂત અવશ્ય બનતા હોય છે.’

મેં કહ્યું એ વાત સાચી મારો એક મિત્ર સ્કૂલમાં બે ધોરણ તે સમયની સગવડ મુજબ એક વર્ષમાં પતાવતો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું એમ ચાર ધોરણ એણે ફક્ત બે વર્ષમાં પતાવી દીધેલા પણ શહેરમાં ભણવા મૂક્યો ને મિત્રોને સંગે ફિલ્મો જોવાના રવાડે ચડી ગયો તે અગિયારમાં ધોરણમાં નાપાસ થયેલો.

હવે અંબુકાકાનો બોલવાનો વારો આવ્યો. અંબુકાકા કહે,  ‘સાચી વાત કહું તો બધા છોકરાં સાહેબ બની જશે તો પટાવાળી કોણ કરશે? પછી કહે મજાક કરું છું બાકી કોઈ માબાપ એવું નાં ઇચ્છે કે તેના સંતાન સાવ નિમ્ન કક્ષાની જૉબ કરે. પણ બધા છોકરાનું બુદ્ધિનું તત્વ સરખું ના હોય. બુદ્ધિ ના હોય તેવું નથી કહેતો પણ એનો માર્ગ જુદો હોય, એના રસના વિષય જુદા હોય પણ એને સમજ પડી નાં હોય કે એના રસના સબ્જેક્ટ કયા છે અને બીજી કોઈ લાઈનમાં જતો રહે તો ધબડકો વળી જાય.’

મેં કહ્યું કાકા એ વાત સાચી ઘણીવાર સમજ પડતી નથી તે સમયે કે આપણા રસના મનગમતાં વિષય કયા છે, આજે મને લાગે છે કે હું તે સમયે કૉમર્સના બદલે બાયોલોજીમાં ગયો હોત તો વધુ સારું ભણી શક્યો હોત. પણ તે વાત મને આજે ૫૫ વર્ષે ખબર પડે તો શું કામની? બીજું આજે હું ત્રણેક વર્ષથી આર્ટિકલ આખું છું જો મને ૧૫-૨૦ વર્ષ પહેલા ખબર પડી હોત કે મારામાં લેખક બનવાની ક્ષમતા છે તો ??

અંબુકાકા કહે એક તો ઘરમાં બધા છોકરાં બહુ ઊંચું ભણી નાખે તે જરૂરી નથી એકાદ સરખું નાં ભણે તો તે હોશિયાર નથી તેવું માની લેવું નહિ અને તે બાબતે માબાપે ગિલ્ટી ફિલ કરવાની જરૂર નહિ અને ખાસ તો તે છોકરાને એવું નાં લાગવું જોઈએ કે માબાપ તેના સારા રિઝલ્ટ નાં આવવાથી તેને નફરત કરે છે. આમ તો માબાપ બાળકને નફરત કરે નહિ પણ ઇન્ગોર કરે અથવા નારાજગી બતાવે પણ બાળકને અચેતન રૂપે લાગે કે માબાપ તેનાથી નારાજ છે.

યસ ! આ વાત બહુ મહત્વની કરી કે સંતાનને એવું ના લાગવું જોઈએ કે માબાપ તેને નફરત કરે છે અથવા નારાજ છે.

હવે શાંતિભાઈ પાછાં થાક ખાઈને તૈયાર થઈ ગયા હતા. એમણે કહ્યું, ‘ મારા એક મિત્ર હતા તેમનો સૌથી મોટો દીકરો મેટ્રિકમાં દસેક વાર પરીક્ષા આપી પણ પાસ થયો નહોતો. જ્યારે બીજો દીકરો પીએચડી સુધી ભણેલો. હતા બંને હોશિયાર પણ આવું કેમ બન્યું તે એક કોયડો છે. અને આ મેટ્રિકમાં દસ વાર નાપાસ થયેલા દીકરાનો દીકરો આજે વૈજ્ઞાનિક છે બોલો કહેવું છે કાઈ?

મેં કહ્યું ચાલો રવીન્દ્રનાથ ટાગોર ની સ્ટોરી કહું જે બહુ લોકોના ધ્યાનમાં નથી. રવીન્દ્રનાથ ટાગોર બહુ મોટા જમીનદાર ફૅમિલીના હતા. ટાગોરના કાકા-બાપા બધા ભાઈઓનું બહુ મોટું બહોળું કુટુંબ સંયુકતપણે રહેતું હતું. ઘરમાં ઘણા બધા બાળકો એકસાથે ઊછરતા હતા. હવે આ નાના બાળકો મોટા થઈને શું બનશે શું ભણશે તે વિષે અંદાજ મારીને ઘરના દરેક મોટા સભ્યોએ એક ડાયરીમાં લખવાનું તેવો નિયમ ટાગોરના પિતાશ્રીએ બનાવેલો. ઘણા બધા બાળકો હતા બધા તેજસ્વી હતા ભણવામાં. કોઈ લખતું કે આ બાળક જજ બનશે કે આ વકીલ બનશે, પણ રવીન્દ્રનાથ વિષે લખવું મુશ્કેલ હતું. રવીન્દ્રનાથ આખો દિવસ ખેતરો અને નદી કિનારે રખડી ખાતા અને રમ્યા કરતા. ભણવામાં એમનું ચિત્ત ચોટતું નહોતું. બાળક ગમે તેવું હોય પણ એની માતા એના વિષે હમેશાં ઉચો ખ્યાલ રાખતી હોય ભલે બીજાને ડફોળ લાગે. માતાને એનું બાળક ખૂબ વહાલું હોય છે. વિડમ્બના એ હતી કે રવીન્દ્રનાથનાં માતા પણ એમના વિષે બહુ સારો ખ્યાલ ધરાવતા નહોતા. એમણે પેલી ડાયરીમાં લખેલું કે રવીન્દ્રનાથ માટે મને કોઈ આશા નથી. એક માતા જ્યારે આવું લખે તો વાત પતી ગઈ. હવે આજે આપણે જાણીએ છીએ કે આવડા મોટા ફૅમિલીના ખાલી રવીન્દ્રનાથને આપણે ઓળખીએ છીએ બીજા તેજસ્વીઓને કોઈ જાણતું પણ નથી. એમના મોટાભાઈ તો જજ હતા ને અમદાવાદમાં જજ તરીકે ફરજ બજાવી ચૂકેલા પણ ખરા.

હવે અત્યાર સુધી ચુપચાપ વાતો સાંભળતાં કમળાબેન બોલ્યા કે ભાઈઓ ગમેતેટલી ફિલોસોફી ફાડો પણ માતાને તો દુઃખ થાય થાય ને થાય અને ચિંતા પણ થાય જો એક દીકરો સારું ભણે અને બીજો નાં ભણે તો. મેં કહ્યું એની કોણ નાં પાડે છે? ચિંતા કરવી અને અપરાધભાવ અનુભવવો એ બેમાં ફેર ખરો કે નહિ?

શાંતિભાઈ બોલ્યા હમણાં વરસ પહેલા હું ભારત ગયેલો ત્યારે એક મિત્રની દીકરો કહે કાકા મને અમેરિકા લઈ જાવ ગમે તેવી જૉબ કરીશ પણ પૈસા કમાવા છે વેઇટર બનીશ પણ ડોલર જોઈએ. તો મેં જવાબ આપ્યો ડફોળ વેઇટર બનીને કમાઇશ એના કરતા કમ્પ્યુટર એન્જીનીયર બનીને વધુ કમાઈ શકીશ સારું ભણી લે અને એચ-વન વિઝા પર ત્યાં આવી જા, પણ પહેલા સારું ભણી લે.

મેં કહ્યું વાત મુદ્દાની કરી. ચાલો હવે ભાગીએ આજે તો વાતોમાં બહુ મોડું થઈ ગયું, કાલે મળીશું.    imagesWBT4EBPE

ધાવણ અને બ્રેન (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી) -૨

 ધાવણ અને બ્રેન  (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી) -૨
અમારી રેડબડ ગામ ગપાટા મંડળીના બધા સભ્યો કાયમ હાજર હોય તેવું બનતું નહિ. કોઈ ને કોઈ તો ગેરહાજર હોય જ. આતો કામગરો દેશ છે કોઈને અહીં ગપાટા મારવાની નવરાશ હોય નહિ. એટલે જે કામ પતાવીને આવ્યા હોય કે રિટાયર હોય તેવા મિત્રો ભેગાં થઈ જતા. images9ZS5HX7Y

કમુબેન અને મંજુબેન એમના દીકરાઓને હેલ્પ થાય તે માટે ભારતથી અહીં રહેવા આવી ગયેલા હતા. આ દેશમાં પતિપત્ની બંને જૉબ કરતા હોય એટલે નાના બાળકોને સાચવવા બેબીસીટર રાખવી પડે. સરવાળે તે મોંઘું પણ પડે. વધુમાં દાદી સાથે લોહીનો નાતો હોય એટલે બાળકો સાથે લાગણીનાં તંતુ વડે જોડાયેલ દાદીની દેખભાળમાં આભ જમીનનો ફેર પડી જાય. માબાપ પણ ઇન્ડિયામાં એકલાં રહેતા હોય તો એમની ચિંતા કાયમ કરવી એના કરતા અહીં જોડે રહે તેમાં શું વાંધો? અરસપરસ બધાનું હિત જળવાઈ જાય. આમ તમને ભારતમાં સંયુક્ત કુટુંબ જોવા કદાચ ઓછા મળે પણ અહીં રહેતા ભારતીયોમાં સંયુક્ત કુટુંબ વધુ જોવા મળે તેવું પણ બને.

શાંતિભાઈ સાંજે ચાર વાગે જૉબ પરથી છૂટી જાય એટલે ઘેર આવી ચાપાણી પતાવી ફરવા નીકળી પડે. એમનો અભ્યાસ અને વાંચન પણ બહોળું છે. અંબુકાકા પોતે ભરૂચમાં એક સ્કૂલમાં હેડમાસ્તર હતા. નાના દીકરાને ઘેર તે અને તેમના શ્રીમતી રહે છે. એક દીકરો એના બાલબચ્ચાં સાથે બીજે રહે છે. દીકરી જમાઈ પણ બીજે રહે છે. શનિ-રવિ એકબીજાના ઘેર ભેગાં થઈ એમનું કુટુંબ કિલ્લોલ કરતું હોય છે. કાલની જેમ આજે પાછાં અમે ચાર જણા ભેગાં થઈ ગયા.

થોડી ગપસપ પછી કાલની વાત આગળ વધારતા શાંતિભાઈ બોલ્યા, ‘ માતા જ્યારે બાળકને ધવડાવતી હોય ત્યારે માતા અને બાળક બંનેના બ્રેનમાં ઓક્સીટોસીન નામનું ન્યુરોકેમિકલ પુષ્કળ પ્રમાણમાં સ્ત્રવતું હોય છે જે માતા અને બાળક વચ્ચે સામાજિક જોડાણ પાકું કરે છે. બીજું માતાનું ધાવણ બાળકના બ્રેન વિકાસ માટે મહત્વનું છે. ફૉર્મ્યુલા ફીડીંગ ડાયાબીટીસ અને બીજા રોગોનું કારણ બની શકે છે. ઓક્સીટોસીન પ્રેમ અને વિશ્વાસ માટે કારણભૂત કેમિકલ કહેવાય છે.’

મેં કહ્યું મતલબ તમે બાળકને પૂરતું ધવડાવ્યું નાં હોય તો માતા અને બાળક વચ્ચે સામાજિક બૉન્ડ જોઈએ તેવું સખત બને નહિ તેવું કહી શકાય.

શાંતિભાઈ કહે, ‘અપવાદ રૂપ કિસ્સા હોય બાકી સરેરાશ જુઓ તો જે બાળકો માતાને વધુ સમય ધાવ્યા હોય અને જે બાળકો ઓછો સમય ધાવ્યા હોય તેમના એમની માતા સાથેના સામાજિક સંબંધોમાં ફેર તો રહેવાનો જ. Bryan Rodgers નામના મેડિકલ સંશોધકે ૮ થી ૧૫ વર્ષના ૨૦૦૦ બાળકોના જ્ઞાનભંડોળ વિષે ચકાસણી કરી એક અભ્યાસ કરેલો. જે બાળકો સમગ્રતયા બોટલ ફીડીંગ પર ઊછરેલા તેમનો જ્ઞાનભંડોળનો સ્કોર માતાના દૂધ સાથે ઊછરેલા બાળકો કરતા થોડો ઓછો હતો. માતાનાં દૂધ પર ઊછરતા ૬ મહિના થી ૨ વર્ષની ઉંમર સુધીના બાળકોનાં મેન્ટલ ફંક્શન પણ બોટલ-દૂધ પર ઊછરતા બાળકો કરતા વધુ નોંધાયા છે.’

વધુમાં શાંતિભાઈએ ઉમેર્યું, “ઘણી માતાઓ ચાર-છ  મહિના ધવડાવી બાળકોને બોટલ પર ચડાવી દેતી હોય છે. માનવવંશ શાસ્ત્ર અને પુરાતત્ત્વવિદ્યા જેવી અભ્યાસની શાખાઓ તરફથી મળેલા પુરાવા જતાવે છે કે ૧૦,૦૦૦ વર્ષ પૂર્વે દુનિયાના બધા સમાજો હન્ટર-ગેધરર હતા તે આપણા પૂર્વજો મિનિમમ ૩ વર્ષ તો બાળકોને ધવડાવતા જ હતા. એટલે અભ્યાસમાં બેચાર મહિના ધાવેલા બાળકો અને બેત્રણ વર્ષ ધાવેલા બાળકો વચ્ચેનો તફાવત ધ્યાનમાં લેવો જોઈએ. ૧૯૯૩માં Walter Rogan અને Beth Gladen નામના જીવ વૈજ્ઞાનિકોએ ૬ મહિનાથી માંડી ૫ વર્ષ ઉંમર સુધીના બાળકોનો અભ્યાસ કરેલો. એમનું તારણ એ હતું કે જેમ વધારે મહિના કે વર્ષો બાળક ધાવ્યું હોય તેમ તેમનો માનસિક વિકાસનો સ્કોર વધુ હોય છે. ઘણાબધા અભ્યાસ આ બાબતે થયા છે. મૂળ વાત એ છે કે સ્ત્રીઓ ધવડાવવા અને બાળકો ધાવવા માટે ઓછામાં ઓછું ત્રણ વર્ષ તો ઉત્ક્રાન્તિના ક્રમમાં ઇવોલ્વ થયેલા જ છે, અને વધુમાં વધુ પાંચ વર્ષ. કારણ પાંચ વર્ષ પછી દૂધમાં રહેલું લેક્ટોસ પચાવતું એન્ઝાઈમ બનતું બંધ થઈ જતું હોય છે. એટલે જેટલું વધારે સમય બાળક ધાવ્યું હોય તેમ તેનો માનસિક વિકાસ વધુ નોંધાયો છે. એટલે જે માતાઓએ બાળકને બિલકુલ નાં ધવડાવ્યું હોય તે અને ફક્ત થોડા મહિના બાળકને ધવડાવ્યું હોય તે માતાઓ એક જ નાવમાં સવાર છે, એમના બાળકોનો લાંબાગાળે માનસિક વિકાસ લગભગ સરખો જ હોય છે.”

લાંબું ભાષણ આપી શાંતિભાઈ ઊંડા શ્વાસ લેવા લાગ્યા. તો મંજુબેન એક ચિત્તે બધું સાંભળીને એમના દીકરાની વહુ જે ફક્ત છ મહિનામાં જ ધાવણ છોડાવી દેવાનું વિચારતી હતી એને કઈ રીતે સમજાવવી તે વિચારી રહ્યા હતા. આજકાલની જનરેશનને એમ સીધું કહી દેવાથી માની જાય તેવી હોતી નથી. હું એમની સમસ્યા સમજી ગયો હતો. મેં શાંતિભાઈને કહ્યું આ મંજુબેન હવે અહીં આવીને ઈ-મેલ વગેરે વાપરતા થઈ ગયા છે. નવરાં હોય ત્યારે કોમ્પ્યુટર પર બેસે પણ છે તો એમને તમે કરેલા અભ્યાસની લિંક જે હોય તે ઈ-મેલમાં મોકલી આપો. મંજુબેન તે બધી લિંક એમની વહુને ફૉર્વર્ડ કરી દે. વહુ જાતે જ વાંચી અભ્યાસ કરી નિર્ણય લે તે યોગ્ય છે.

મંજુબેન ખુશ થઈ ગયા, કહે રાઓલભાઈ તમે સરસ ઉપાય બતાવ્યો એમ જ કરવું પડશે. જોઈએ અમારો પ્લાન સફળ થાય છે કે કેમ? હાલ તો આટલું વિચારી અમે છુટા પડ્યા.

ધાવણ અને ધાવમાતા

untitled-0-=

 બાળઉછેરની ચર્ચાઓ સ્ત્રીઓમાં ચાલતી હોય ત્યારે Breast vs Bottle વિષય મહત્વનો બની જતો હશે. બ્રિટીશ સરકારે બ્રેસ્ટ ફીડીંગને ઉત્તેજન આપવા એક પાઇલટ સ્કીમ શરુ કરી છે એના અંતર્ગત જે સ્ત્રીઓ એમના બાળકોને બ્રેસ્ટફીડીંગ કરતી હોય તેને છ અઠવાડિયા સુધી ૧૨૦ પાઉન્ડ શોપિંગ વાઉચર તરીકે આપવા અને છ મહિના સુધી બ્રેસ્ટફીડીંગ કરે તો આ રકમ ૨૦૦ પાઉન્ડ સુધી વધી શકે. ઘણી સ્ત્રીઓ પૌષ્ટિક ખોરાકના અભાવે પોતાનું દૂધ ઉત્પાદન જોઈએ તેવું કરી શકતી નહિ હોય તેવું ધારી કદાચ આવો નિર્ણય લેવાયો હોય તેવું બની શકે. ઘણી સ્ત્રીઓ પૂરતું દૂધ ઉત્પાદન કરી શકતી ના હોય તે નવું નથી.

તાજાં જન્મેલા બાળકોને પહેલાં કોઈ બીજા પ્રાણીનું દૂધ આપતું નહિ. ૧૯મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ યુરોપમાં શરૂ થઈ સ્ત્રીઓ કારખાનામાં કામ કરતી થઈ અને બાળકોને સર્વપ્રથમ ગાયનું દૂધ આપવાનું શરુ થયું. બ્રેસ્ટફીડીંગ કરતાં બોટલથી દૂધ આપવું ઝડપી અને સ્ત્રીઓ કામના કલાકો વધુ ખેંચી પણ શકે. વધુને વધુ સ્ત્રીઓ કામ કરતી થઈ તેમ કામ કરતી નવી બનેલી માતાઓને તો બ્રેસ્ટફીડીંગ અઘરું લાગવા માંડતા બોટલ ફીડીંગ ઝડપથી ફેલાવા લાગ્યું. પરિણામ એ આવ્યું કે ત્રીજા ભાગના બાળકો એમનો પહેલો જન્મદિવસ જુએ અને ઊજવાય તે પહેલા પૃથ્વી પરથી કાયમી વિદાય લેવા લાગ્યા. ૨૦મી સદીમાં એમાં થોડો સુધારો આવ્યો કે દૂધ આપવાની બોટલ હાઇજીનનું ધ્યાન રાખીને બનાવવાનું અને વાપરવાનું શરૂ થયું, સાથે સાથે દુધને બદલે તૈયાર ફૉર્મ્યૂલા-ફીડ પણ વપરાવા લાગ્યા. ભારતમાં તો બોટલ વડે દૂધ આપવાનું બહુ પાછળથી શરૂ થયેલું. અમારી પેઢી સુધી તો હતું જ નહિ.

હવે આપણે શીખ્યા કે formula-feeding ભવિષ્યમાં બાળકની તંદુરસ્તી માટે ખૂબ હાનિકારક છે જેવું કે ભવિષ્યમાં ડાયબીટિઝ અને ઓબેસિટી વડે પીડાવાનું જોખમ વધી શકે છે. પણ હવે જાદુઈ ચિરાગમાંથી બહાર છટકી ગયેલો જિન પાછો પૂરવો મુશ્કેલ છે. જો કે ૧૯૦૦માં પોતાના બ્રેસ્ટફીડીંગ તરફથી નવા વિકલ્પ પ્રત્યે સ્ત્રીઓ અચાનક ધ્યાન આપતી નહોતી શરુ થઈ ગયેલી. એની શરૂઆત બહુ જૂની છે. ૧૯મી સદીમાં શરૂ થયેલા બોટલ-ફીડીંગ ને લીધે એક સદીઓ જુનો વ્યવસાય wet nursing નદારદ થઈ ગયો. ભારતમાં એને ધાવમાતા કહેતા(breastfeeding another woman’s baby). ભારતમાં રાજઘરાનાના લોકો આવી ધાવમાતાઓ રાખતા. wet nursing(ધાત્રીકર્મ) વિશેના સૌથી જુના લગભગ હજાર વર્ષ જુના ઉલ્લેખ ઇઝરાયલ, ઈજીપ્ત અને ગ્રીસમાં મળે છે. કોઈ શારીરિક ખામીને લીધે કોઈ સ્ત્રી એના બાળકને દૂધ આપી શકતી ના હોય ત્યારે આવી ધાવમાતા તરીકે સ્ત્રીઓ પગાર આપી રાખવામાં આવતી જે પેલી સ્ત્રીના બાળકને ધવડાવવાનું કામ કરતી.

ભારતમાં તો આવી માતાઓ બાળકની તમામ સારસંભાળ રાખતી. જરૂર પડે જે તે બાળક માટે બલિદાન આપી દેતી. મુઘલ બાદશાહ અકબરને ના નમનાર એકમાત્ર મહારાણા પ્રતાપ ઉપર આજે આપણે બહુ ગર્વ કરીએ છીએ એના મૂળમાં પન્ના નામની ધાવમાતાનું બલિદાન બોલે છે. પન્ના મહારાણા પ્રતાપના પિતાશ્રી મહારાણા ઉદયસિંહનાં ધાવમાતા હતા. બાળ ઉદયસિંહને મારી નાખવા વનવીર નામનો હંગામી રાજા આવેલો ત્યારે ભવિષ્યના મહારાણા બાળક ઉદયસિંહને બચાવી લેવા એમની જગ્યાએ પોતાના બાળકને ઘોડિયામાં મરવા માટે સુવડાવી ઉદયસિંહને પન્ના દ્વારા બચાવી લેવાયા હતા. પોતાના બાળકને મરવા દઈ ભવિષ્યના એક ગ્રેટ લીડર(રાજા)ને બચાવી લેનાર પન્નાનું બલિદાન ભારતીય ઇતિહાસમાં અજોડ છે. એ મહારાણા ઉદયસિંહે ઉદયપુર નામનું સુંદર શહેર વસાવ્યું અને એમના પુત્ર તે અજોડ મહારાણા પ્રતાપ…

imagesપશ્ચિમના જગતમાં તો હવે કોઈ સ્ત્રી બ્રેસ્ટફીડીંગ માટે મુશ્કેલી અનુભવતી હોય તે ટીકાનો ભોગ બને તેવું થવા લાગ્યું છે. લોકો મનાવા તૈયાર જ ના થાય કે આવું પણ બની શકે. પણ ઈજીપ્તનો ૧૫૫૦ BC પહેલાનો એક મેડિકલ રિકોર્ડ બતાવે છે કે બાળકને દૂધ આપવા સક્ષમ ના હોય તેવી સ્ત્રીઓ માટે સારવાર ઉપલબ્ધ હતી. સ્વોર્ડફિશના ગરમ હાડકા વડે આવી સ્ત્રીઓના પીઠ પર માલીશ કરવામાં આવતી. મતલબ સ્ત્રી બાળકને પોતાનું દૂધ પિવડાવવા સક્ષમ ના હોય તે પ્રૉબ્લેમ નવો નથી.

ઈશા પૂર્વે ૩૦૦-૪૦૦ વર્ષ પહેલા પૈસાદાર રોમનો પોતાના બાળકોને દૂધ આપી શકે તેવી wet nurses સ્ત્રીઓ ગુલામ તરીકે રાખતા. પણ યુરોપમાં મધ્યયુગમાં એવો વિચાર વહેતો થયો કે wet nurse બાળકને દૂધ પિવડાવે તો એના ગુણો દૂધ મારફતે બાળકમાં આવી જાય. જેથી ધીમે ધીમે wet nurse રાખવાનું બંધ થવા લાગ્યું. ભારતમાં પણ આવી વાર્તાઓ પ્રચલિત હોય છે કે દાસીનું દૂધ તારા પેટમાં બે છાંટા આવી ગયું માટે તુ આવો પાક્યો. આમ ધાવમાતાનું મહત્વ અકારણ ઓછું થવા લાગ્યું.

ગર્ભાવસ્થા દરમ્યાન માતાના સ્તનોમાં ધીમે ધીમે જે દૂધ ભરાય છે તે બહુ કીમતી હોય છે. એમાં તમામ રોગપ્રતિકારક શક્તિઓ ભરેલી હોય છે જે માતા ધરાવતી હોય છે. બાળક જન્મે તરત આ જમા થયેલું દૂધ પહેલું આપવાનું હોય છે, પણ આપણે મૂર્ખાઓ આ દૂધ વેડફી ને ઘી અને ગોળ ચટાડીએ છીએ જે હાલ બાળકને પચે તેવું ના પણ હોય. ગાય-ભેંસના આ સુવાવડ પછીના પ્રથમ દૂધમાંથી બરફી જેવા ચોસલાં પાડી એમાં ઇલાયચી વગેરે નાખી બળી બનાવવામાં આવતી હોય છે. WHO સજેસ્ટ કરે છે કે બાળકને બ્રેસ્ટફીડીંગ ઓછામાં ઓછું બે વર્ષ તો કરાવવું જ જોઈએ.

અમેરિકામાં ગર્ભવતી મહિલાઓ માટે તે બાબતનું જ્ઞાન આપવા સારી સારી હોસ્પિટલો વર્ગ ચલાવતી હોય છે અને તેવી મહિલાઓ સારો પૌષ્ટિક ખોરાક લઈ શકે જેવા કે દૂધ, ઈંડા, બ્રેડ અને ફ્રુટ્સ માટે ૫૦ ડોલર્સના વાઉચર આપવામાં આવે છે. બ્રેસ્ટફીડીંગનાં પોતાના ફાયદાઓ બહુ મહત્વના છે તેમાં કોઈ શક છે જ નહિ. પશ્ચિમની સ્ત્રીઓ તો આ ફાયદા સમજીને ઝડપથી બ્રેસ્ટફીડીંગનું મહત્વ સમજવા લાગી છે અને બીજી સ્ત્રીઓની હેલ્પ વગર એકલી જ એમાં આગળ વધવા લાગી ગઈ છે. થોડીવાર લાગશે પણ ઘડિયાળનું લોલક પાછું એના સ્થાને જતું હોય તેવું લાગશે. 1364583545260_cached

મિત્રતાનો ફેસબુક ફંડા (વિદ્વાન મિત્રોના અભિપ્રાય અને અનુભવો સાથે)

 images (7)

મિત્રતા-ફેસબુક ફંડા

જંગલમાં એકલો રહેતો હોય કે જેલમાં કાળકોટડીમાં એકલો પૂરેલો હોય, માનવી પશુ-પ્રાણી કે કોઈ પણ જીવજંતુ ને મિત્ર બનાવી લેતો હોય છે. મિત્રતાનો આધાર ત્રણ બાબતો ઉપર હોય છે. કે ત્રણ પ્રકારની મિત્રતા હોય છે. એક મિત્રતા ઉપયોગિતા પર આધાર રાખતી હોય છે. બીજી મિત્રતા આનંદપ્રમોદ ઉપર આધાર રાખતી હોય છે અને ત્રીજી મિત્રતા નૈતિકતા કે ચારિત્ર્ય અને ગુણો કે આચારવિચાર ઉપર આધાર રાખતી હોય છે.

સ્કૂલમાં વિદ્યાર્થીઓ એકબીજાને નોટ્સ, પુસ્તકો અને સાધનો વગેરેની આપલે કરતા હોય છે. પડોશીઓ એકબીજાની વસ્તુઓ શેઅર કરતા હોય છે. અમારા પાડોશી શાંતાબેન બે મરચાં, એકાદ લીંબુ કે એકાદ ડુંગળી લેવા કાયમ આવી જતા. આવી મિત્રતાનો આધાર ઉપયોગિતા ઉપર ટકતો હોય છે. ઉપયોગિતા ખતમ મૈત્રી ખતમ.

ઘણા મિત્રો ખૂબ હસમુખા હોય છે. એમની કંપનીમાં આનંદ આવી જાય. જોડે ફિલમ જોવા જઈએ. કોઈ પ્રોગ્રામ માણવા જઈએ. ઘણા ખર્ચાળ પણ હોય મિત્રો માટે પૈસા ખર્ચતા વાર નાં કરે. આમ એક મૈત્રીનો આધાર આનંદ-પ્રમોદ, મોજશોખ હોય છે. આનંદ ખતમ મૈત્રી ખતમ.

સદાચાર, સદભાવ, સમાન વિચારસરણી, ગુણ આધારિત નૈતિક મિત્રતા કાયમ ટકી જતી હોય છે. આવી મિત્રતામાં આનંદપ્રમોદ અને ઉપયોગિતા સમાયેલી હોય તે વાત જુદી છે. આવા મિત્રતામાં એકબીજાની સારપ વધુ જોવાતી હોય છે. એમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ હોય છે.

એક ઇન્ટરનેશનલ અભ્યાસ (McAndrew & Jeong, 2012) મુજબ ફેસબુકમાં સૌથી વધુ એક્ટીવ યુવાનો, સ્ત્રીઓ અને સિંગલ હોય છે. તેઓ ઇમ્પ્રેશન વધારવા માટે ફોટા, સ્ટેટ્સ અને પોસ્ટ અપડેટ કરવા બીજા લોકો કરતા વધુ સમય ફેસબુક પર ગાળતા હોય છે. ઓલ્ડર યુઝર્સ ફેમિલી રીલેટેડ ફેસબુક એક્ટીવીટીમાં વધુ વ્યસ્ત હોય છે. ટૂંકમાં યુવાન સ્ત્રીઓ ઇચ્છતી હોય કે લોકો તેમને વધુ જુવે અને ઓલ્ડર યુઝર્સ ફેમિલી સાથે સંપર્કમાં રહેવા ઇચ્છતા હોય છે.

રોજીંદી જીવન ઘટમાળમાં આપણે નાના મોટા અસ્વીકાર અવહેલના ભોગવતા જ હોઈએ છીએ. સાથે કામ કરતા સાથીઓ આપણને મૂકીને લંચ લેવા જતા રહેતા હોય, સગાસંબંધી આપણો જન્મદિવસ ભૂલી જતા હોય, પડોશીઓ એમના ત્યાં રાખેલી પાર્ટીમાં આમંત્રણ આપતા નથી, મિત્રો આપણને મૂકીને ફિલ્મ જોવા જતા રહેતા હોય, પતિ કે પત્ની એકબીજાની કામેચ્છા પૂરી કરવાની વિનંતીનો કઠોર અસ્વીકાર કરતા હોય, કોઈને કોઈ દ્વારા આપણી લાગણીઓ ઘવાયા વગર ભાગ્યેજ કોઈ દિવસ કે અઠવાડિયું પસાર થાય. પણ હવે Facebook, Twitter, Linkedin, Instagram જેવી અનેક સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ આપણને લાગણીઓમાં તરબતર કરવા આવી પહોચ્યાં છે, પણ જેટલી સ્વીકારની સંભાવનાઓ વધે તેમ અસ્વીકારની સંભાવનાઓ પણ ખૂબ વધી જતી હોય છે. એટલે કોઈ મિત્ર લાઈક આપવાનું ભૂલી જાય કે રિટ્વીટ કરવાનું ભૂલી જાય ત્યારે પેલાં રિઅલ લાઇફ રિજેક્શન જેવું અહીં પણ અનુભવાય છે. આપણા ટહુકા નો કોઈ પ્રતિસાદ આપવામાંથી છટકી જાય ત્યારે ખૂબ લાગી આવતું હોય છે. લાઈક કોમેન્ટ્સનાં વાટકીવ્યવહાર ના સચવાય તે એક જાતનો સામાજિક બહિષ્કાર જેવું લાગતું હોય છે.

સમજો જ્યારે આપણે કાયમ પાડોશીને નાની મોટી પાર્ટીમાં યાદ રાખીને બોલાવતા હોઈએ પણ તેના ઘેર પ્રસંગ આવે ત્યારે આપણને ભૂલી જાય ત્યારે જે દુઃખ થાય કે લાગણી ઘવાય છે તેવી જ સરખી અનુભૂતિ અહીં ફેસબુકમાં તમને કોઈ મિત્ર દ્વારા લાઈક કે પ્રતિભાવ નાં મળે ત્યારે થતી હોય છે. શારીરિક પેએન વખતે બ્રેનમાં જે વિભાગો વધુ હલચલ બતાવે છે તે જ વિભાગો સામાજિક અસ્વીકાર વખતે પણ વધુ હલચલ બતાવતા હોય છે. એટલે તમને પગમાં ઠેસ વાગે અને અંગૂઠામાં દુખાવો થાય ત્યારે, અને કોઈ સગા એમના ઘેર સારા પ્રસંગે આપણને યાદ નાં કરે અને આપણી લાગણી ઘવાય ત્યારે, અને આપણો મિત્ર આપણી પોસ્ટને લાઈક નાં આપે કે પ્રતિભાવ નાં આપે ત્યારે બ્રેનમાં સેઇમ વિભાગ એક્ટીવ થતા હોય છે. જો આટલું સમજાઈ જાય તો હવે કોઈ લાઈક નાં આપે તો દુઃખ ઓછું થશે.

ઘણીવાર આપણે વધુ પડતું વિચારી લેતા હોઈએ છીએ. માનો કે આપણે કોઈને Linkedin માં જોડાવા આપણી સાથે આમંત્રણ આપીએ પણ તે સ્વીકારે નહિ તો ખોટું લાગતું હોય છે પણ એવું બને કે પેલો ભાઈ Linkedin કદી ખોલતો જ નાં હોય કે વાપરતો જ નાં હોય. હું પોતે ટ્વીટર પર જતો નથી. મારા લેખોની લિંક ઓટ્મેટિક ટ્વીટર પર આવી જતી હોય છે. હું ગુગલ પ્લસ પણ ખાસ વાપરતો નથી. એટલે મને તે સાઈટ્સ પર કોઈ શું કરે મને ખાસ ખબર હોતી નથી. ફેસબુક ઉપર પણ હું આખો દિવસ હોઉં નહિ. બીજું અમારો ટાઈમ ડિફરન્સ પણ ધ્યાનમાં રાખવો પડે. અમારો સુવાનો ટાઈમ થાય ત્યારે તમે કોઈ પોસ્ટ મૂકી હોય જેની અમને જાણ થાય નહિ. હજારો પોસ્ટ અને સ્ટેટ્સ મૂકાતાં હોય ત્યાં કોઈ મિત્રનું ક્યાંય પહોચી ગયું હોય દેખાય પણ નહિ. એટલે જો આપણને સોશિઅલ મીડિયા પર ૧૦૦૦ વખત અસ્વીકાર(રિજેક્શન) અનુભવાય ત્યારે ૯૯૯ વખત કોઈનો અંગત ઇરાદો એવું કરવાનો હોતો નથી. ઘણી બધી જાતજાતની પોસ્ટ મૂકાતી હોય, ફોટા હજારો જાતના મુકાતા હોય છે. મને પોતાને ફોટા મૂકવામાં રસ નથી પડતો. અને એવા મૂકેલા ફોટા પ્રત્યે મારું ખાસ ધ્યાન પણ નાં હોય. દરેકના રસ જુદાજુદા હોય. એટલે જેટલું સોશિઅલ મીડિયા પર સમૃદ્ધ થવાની તકો હોય તેટલી જ તકો રિજેકશનની પણ હોય છે.

ફેસબુક પર લાખો પેજ છે. હેલ્થને લગતા હજારો પેજ હશે. હજારો લાખો ગ્રુપ્સ ચાલતા હશે. જેને જે ભાવે તેમાં જોડાઈ જાય. પોતાના ધંધાની જાહેરાતના પેજ હોય છે તેમ નિઃસ્વાર્થ સેવાભાવી સંસ્થાઓના પણ પેજ છે. આતો જાહેર અન્નકૂટ છે જેને જે ભાવે તે ખાઈ લે.

ફેસબુક વાપરતા બાળકોનાં માતાપિતા ચિંતા કરતા હશે કે એનાથી બાળકોની બુદ્ધિમત્તા પર અસર પડશે. પણ એક અભ્યાસ એનાથી ઊલટું કહે છે. જો કે વધુ પડતો ઉપયોગ સમય બગાડે તે હકીકત છે. પણ અભ્યાસ જતાવે છે કે જે ૧૫-૧૮ વર્ષના બાળકો એક વર્ષ કરતા વધુ સમયથી ફેસબુક વાપરતા હોય તેઓની વર્કિંગ મૅમરી, વર્બલ આઈ કયું, અને સ્પેલિંગ જ્ઞાન એક વર્ષ કરતા ઓછા સમયથી ફેસબુક પર એક્ટીવ હોય તે બાળકો કરતા વધુ હોય છે. કારણ આખી દુનિયામાંથી માહિતીનો ધોધ અહીં વહેતો હોય છે. એની સાથે અનાયાસે રમતા રમતા અનાયાસે ચિંતનમનન થઈ જતું હોય છે.

એક અભ્યાસ જણાવે છે કે ૫૦ વર્ષ વટાવ્યા પછી એકલતા માનવીમાં બ્લડ પ્રેશર વધારવાનું કામ કરતી હોય છે. એટલે એકલતાના નિવારણ માટે મિત્રો હોય તે જરૂરી છે. પણ એવું જરૂરી નથી કે એકલતા દૂર કરવા અસંખ્ય મિત્રો જોઈએ. કે જેમ મિત્રો વધુ તેમ એકલતા વધુ દૂર રહે. એકલતા તમે કેટલા એકલા છો તેના પર આધાર નથી રાખતી પણ તમે કેટલું એકલવાયું અનુભવો છો તેના પર આધાર રાખે છે. ઘણીવાર સગાંસંબંધીઓનાં ટોળા વચ્ચે પણ માણસ એકલતા અનુભવતો હોય છે. ક્યારેક બહુ મોટી પાર્ટીમાં પણ ઘણીવાર એકલતા અનુભવાતી હોય છે. અને ક્યારેક મારા જેવાને સારા પુસ્તકો વાંચવા મળી જાય તો એકલો હોઉં તો પણ એકલતા લાગે નહિ..આમ મિત્રતામાં ગુણવત્તા વધુ મહત્વની છે સંખ્યા નહિ. બહુ ઓછા મિત્રો સાથે પણ એકલતા નિવારી શકાતી હોય છે. અરે! જેની હાજરીમાં એકલતા ગાયબ થઈ જાય તે સારો મિત્ર, બોર નાં કરે તે સારો મિત્ર, જેની હાજરીમાં કમ્ફર્ટેબલ ફીલ કરી શકાય, જેને મળીને જ ખુશ થઈ જવાય, તે સારો મિત્ર..

ફેસબુક પર ગમે તેટલા ફ્રેન્ડસ હોય ખરેખર આપણે બહુ ઓછા મિત્રો સાથે interact ક્રિયાપ્રતિક્રિયા કરી શકતા હોઈએ છીએ. ૫૦૦ મિત્રો ફેસબુક પર હોય તો ભાગ્યેજ ૧૫-૧૭ મિત્રો સાથે અરસપરસ interact કરી શકતા હોઈએ છીએ એવું એક અભ્યાસ બતાવે છે. આ વર્ચ્યૂઅલ ફેન્ડશીપ ક્યારેક રિઅલ મિત્રતામાં પણ બદલાઈ જતી હોય છે. પરદેશમાં રહેતા ફેસબુક મિત્રો દેશમાં આવીને વર્ચ્યૂઅલ મિત્રોની મુલાકાત લઈને એમને રિઅલ મિત્રો પણ બનાવી લેતા હોય છે.

ફેસબુક કે બીજી કોઈપણ સોશિઅલ વેબસાઈટ ઘણા માટે જાત સાથેની ઓળખ પણ બની શકતું હોય છે. હું શરૂમાં ફેસબુક પર ખાસ આવતો નહિ. મને ખુદને ખબર નહોતી કે આ ઇન્ટરનેટ મને લખતા કરી દેશે. મેં સપને પણ વિચાર્યું નહોતું કે હું લખતો થઈ જઈશ. શરૂમાં મેં ઓનલાઇન વાંચવા મળતા દિવ્યભાસ્કરમાં કોઈ લેખ નીચે ટિપ્પણી લખવાનું શરુ કરેલું. એમાંથી પોતાનો બ્લોગ બનાવી લખવાનું શરુ કરેલું. તે સમયે મારા વિચારો અસ્તવ્યસ્ત રીતે લખીને બ્લોગમાં મૂકતો થયેલો. પણ બીજા બ્લોગર મિત્રોએ એને સરાહવાનું શરુ કર્યું એમાં મને વધુને વધુ લખવાની ચાનક ચઢવા લાગી. ધીમે ધીમે ઘડાતો ગયો અને લખાણ પણ સુધરતું ગયું. ફેસબુક પર ભાગ્યેજ આવતો. ફેસબુક પર સૌ પ્રથમ મારી જાહેર ઓળખ આપનાર મિત્ર દર્શિત ગોસ્વામી બન્યા. એમણે મારો એક લેખ મારા નામ સાથે ફેસબુક પર પ્રસિદ્ધ કર્યો એને મિશ્ર પ્રતિભાવો મળેલા. થેન્ક્સ દર્શિત.

ફેસબુક દ્વારા મને ખૂબ સારા મિત્રો મળ્યા છે. તમારી અંદર છુપાયેલી પ્રતિભા બહાર કાઢવાનું ફેસબુક સારું માધ્યમ બની શકે છે. ઈમેલ અને બ્લોગ દ્વારા બહુ ઓછા મિત્રો સાથે સંપર્કમાં રહી શકાય છે પણ ફેસબુક દ્વારા એકસાથે અનેક મિત્રો અને સગાસંબંધી સાથે સંપર્કમાં રહી શકાય છે. જૂની ઓળખાણો તાજી થતી હોય છે. કોઈપણ વસ્તુની સારીનરસી બાજુઓ હોય છે તેમ ફેસબુકને પણ હોય છે. કૉલેજ સ્ટુડન્ટ વચ્ચે કરાયેલો એક અભ્યાસ જતાવે છે કે જે લોકો ફેસબુક ઉપર પોસ્ટ અને સ્ટેટ્સ વધુમાં વધુ અપડેટ કરતા રહેતા હોય છે તેઓ સામાન્ય સંખ્યામાં સ્ટેટ્સ અને પોસ્ટ અપડેટ કરતા લોકોની સરખામણીએ ઓછી એકલતા અનુભવતા હોય છે.

સારી તંદુરસ્તી માટે આપણને ખબર છે કે પૌષ્ટિક ખોરાક લો, નિયમિત કસરત કરો, અને પૂરતો આરામ કરો, પણ કેટલા જાણે છે કે એની સાથે સામાજિક જોડાણ પણ મહત્વ ધરાવે છે? સામાજિક જોડાણ શારીરિક અને માનસિક હેલ્થ ઈમ્પ્રુવ કરે છે તે પણ જાણવા જેવું છે. વધુ પડતું વજન હેલ્થ માટે નુકસાનકારક છે જ પણ તેના કરતા વધુ નુકશાન જો તમે સામાજિક સંબંધો નાં ધરાવતા હોવ ત્યારે થતું હોય છે તેવું પણ એક અભ્યાસ જણાવે છે. ખૂબ મજબૂત સોશિઅલ કનેક્શન ધરાવતા લોકોનું આયુષ્ય વધવાના ચાન્સ ૫૦ ટકા વધી જતા હોય છે. સોશિઅલ કનેક્શન આપણી ઈમ્યુન સિસ્ટિમ મજબૂત કરે છે. Steve Cole નામના વૈજ્ઞાનિકે રિસર્ચ કરેલું છે કે સોશિઅલ કનેક્શન આપણી ઈમ્યુન સિસ્ટિમ ઈમ્પ્રુવ કરે છે જેના લીધે બીમારીમાંથી જલદી બહાર આવી જવાય છે અને તેના લીધે આયુષ્ય પણ વધે છે. જે સામાજિક રીતે બીજા લોકો સાથે વધુ કનેક્ટેડ હોય છે તેઓને anxiety અને depression ઓછું થતું હોય છે. સામાજિક મજબૂત જોડાણ સેલ્ફ એસ્ટીમ વધારે છે, બીજા પ્રત્યે સહાનુભૂતિમાં વધારો કરે છે સાથે સાથે સહકારની ભાવના વિકસે છે, તેનો લાભ બીજાને મળે તો સામેથી આપણને પણ મળતો જ હોય છે. “પરસ્પર દેવો ભવઃ”

ઓછું સામાજિક જોડાણ ધરાવતા લોકોની શારીરિક અને માનસિક હેલ્થ ઓછી થતી જાય છે જેના લીધે એન્ટીસોશિઅલ પ્રવૃત્તિ વધવાનું જોખમ પણ વધી જતું હોય છે તેમ તેમ એકલા પડવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે. એન્ગઝાયટિ, ડિપ્રેશન અને અસામાજિક વૃત્તિઓ સામે અસહાયતા ક્યારેક આત્મહત્યા તરફ દોરી જાય છે.  We are biologically, cognitively, physically, and spiritually wired to love, to be loved, and to belong. આવું ના બને તો ભાંગી પડાતું હોય છે, સંવેદનહીન બની જવાતું હોય છે જે એકંદરે નુકશાન કરતું હોય છે. આપણે વિચારીએ છીએ કે આપણે ધનિક થવા માંગીએ છીએ, સત્તા અને પ્રસિદ્ધિ મેળવવા માંગીએ છીએ, સૌન્દર્ય અને અમર યુવાની ઇચ્છીએ છીએ, નવી કાર જોઈએ છે, પણ આ બધી ઇચ્છાઓના મૂળમાં સામાજિક સ્વીકાર ઇચ્છતા હોઈએ છીએ, કોઈને પોતાના બનાવવા અને કોઈના બનવા માંગતા હોઈએ છીએ. હવા, ખોરાક અને પાણી સાથે સોશિઅલ કનેક્શન આપણી મૂળભૂત ચોથી જરૂરિયાત છે.

મૂવી જોતા વખતે આપણે ભૂલી જતા હોઈએ છીએ કે આ પડદા પર નૃત્ય કરતા દ્ગશ્યોના ટુકડા એકધારા લયમાં ઝડપથી પસાર થતા પારદર્શક ચિત્રો જ છે. આપણે એમાં માનસિક રીતે ઇન્વોલ્વ થઈ જતા હોઈએ છીએ. બસ તેવું જ ફેસબુક જેવા વર્ચ્યૂઅલ જગતનું પણ છે. અને ખરેખર આ વર્ચ્યૂઅલ જગત વર્ચ્યૂઅલ પૂરેપૂરું હોતું પણ નથી. ભલે આપણે ફેસબુક મિત્રોને મળ્યા નાં હોઈએ પણ હકીકતમાં તેઓ બીજા દેશમાં કે શહેરમાં બેઠેલા હોય છે તો ખરા જ. ફેક આઈડી પાછળ પણ કોઈ જીવંત વ્યક્તિ છુપાયેલો તો હોય જ છે. એવા મિત્રોને ખરેખર મળવાના ચાન્સ ૧૦૦ ટકા હોય જ છે. એટલે ભલે ના મળ્યા હોઈએ એમના સુખે સુખી અને એમના દુઃખે દુઃખી પણ થવાતું જ હોય છે, એના માટે કોઈ રિસર્ચની જરૂર નથી. જેને હું કાયમ ઝાઝું લક કહીને સંબોધન કરતો હતો તે ઝલક પાઠકની કાયમી વિદાયનાં સમાચાર સાંભળી વહેલા આંસુ વર્ચ્યૂઅલ નહોતા તે એની સાબિતી છે.

આ ફેસબુક મિત્રતા કહો કે વર્ચ્યૂઅલ મિત્રતા કહો તેના વિષે જુદા જુદા મિત્રોના વિચારો પણ જાણવા જેવા છે.

પોતાનું આગવું વિચાર વલોણું રજૂ કરતા શ્રી અશોકસિંહ વાળા કહે છે, “સોશિયલ સાઇટના ફાયદા અચૂક છે પરંતુ સાઇડ ઇફેક્ટનો સૌ કોઈ ને અનુભવ હશે જ… તમારા એકના એક દિલ પર હાથ રાખીને કહો? પણ પણ પણ આ આભાસી સંબંધો વાસ્તવિક સંબંધોનું આધુનિકરણ છે જે સાચે જ વ્હાલુ લાગે એવું છે… ખરેખર આ ૧૧ પાસ અશ્કાએ આકાંક્ષાથી ઉપરના મિત્રો અને માન-સંમાન ફેસબુક પર મેળવ્યું છે.”

હું એમને કાયમ કહેતો હોઉં છું કે પન્નાલાલ પટેલ પણ બહુ ભણેલા કે સ્નાતક નહોતા પણ એમણે જે સર્જન આપ્યું છે તે કદી ભૂલાય તેવું નથી. ભણતરનો ફેર ચોક્કસ પડતો હોય તમારા સર્જન ઉપર પણ ફરજિયાત ફેર પડે તે જરૂરી નથી. વધુમાં આગળ ઉમેરતા તેઓ કહે છે,

“મિત્રતામાં વિચારોની સમાનતા હોય ત્યાં મૈત્રી ટકવાનાં ચાન્સ ખૂબ વધી જતાં હોય છે મારી જ વાત કરું તો નાનપણમાં ગામડે મોટાભાગના મિત્રો સાથે મારે બનતું નહિ કારણ કે મને/મારા વિચારોને કોઈ સમજે નહિ એટલે કાયમ મિત્રો સાથે મતભેદ રહે અને દરરોજના મતભેદ આખરે મનભેદમાં પરિવર્તિત થાય જતાં હોય છે અને કોઈ એક લેખ, કવિતા કે રચનાને આપની કૉમેન્ટ દ્વારા સંપૂર્ણ ન્યાય આપવો પણ ખૂબ અઘરો અને કદાચ દિલના ખરા શબ્દોથી ઈમાનદારી પૂર્વક ન્યાય ન પણ આપી શકાય ખાસ કરીને ત્યારે જ્યારે મનમાં લાઇકનું ભૂત ધૂણતું હોય… હાહાહા… ક્યાંક હાસ્યના હુલ્લડમાં મન પ્રફુલીત કરવા હાસ્ય પ્રચુર કૉમેન્ટ કરવાની… ત્યાંથી મૂડ ચેઇન્જ કરી કોઈ એક ધાર્મિક પોસ્ટ પર કોઈની ધાર્મિક લાગણી ન દુભાય એનો ખયાલ રાખી કૉમેન્ટ કરી નીકળ્યાં હોય ત્યાં તર્ક સંગત પોસ્ટમાં કૉમેન્ટ કરવાનું આમંત્રણ નોટિફિકેશનમાં આવીને ઉંભુ હોય આ કોમેન્ટોની ભાગદૌડમાં આપણાં ખૂદના વિચારોનો વિરોધાભાસ છતો થયા વગર નથી રહેતો કોઈ પણ વસ્તુ વિષયનો વિરોધાભાસ તો હોવાનો જ એમાં પણ ખાસ કરીને સોશિઅલ સાઇટના તો નબળા અને સબળા પાસા ઊડીને આંખે વળગે એવા… ગામ હોય ત્યાં ઉકરડા પણ હોય એટલે ગામ છોડીને ભાગી થોડું જવાનું? ઉકરડાની સફાઈને પ્રાથમિકતા આપવી ઘટે… વિવેક બુદ્ધિથી ઉપયોગ કરીએ તો ફેસબૂક એક અદ્દભૂત સોશિઅલ સાઇટ છે અને એના સેંકડો ફાયદાઓને પણ નજર અંદાજ ન જ કરી શકાય.”

શ્રી અશોકસિંહ સંવેદનશીલ અછાંદસ કવિ પણ છે તેઓએ ફેસબુકને અનુલક્ષીને એક સુંદર કવિતા પણ લખી છે, ચાલો તે પણ માણી લઈએ.

“માયા ફેસબૂકની”

લાઇકની લ્હાયમાં હલવાણા આ ધુરંધરો

કોયડો કોમેન્ટનો થતો જાય એવો અઘરો,

નર હોય કે, હોય નારી તણી કોઈ દિવાલ

ચડી દિવાલ પર કરે કૉમેન્ટ રૂપી મુજરો,

ફેસબૂક સમંદરની સૌ નાની મોટી માછલી

શબ્દો સૌ કોઈના છે અહીં અજીબ તવંગરો,

અહં આડોડાઈ અકળાવે અંદરથી સૌને

નિખાલસ મનમાં કીડો છે આ કેવો જબરો,

મળે નાનાને ટૅગમાં પણ મોટો ધૂત્કાર અહીં

ને મોટા માંથા કણે જાય વણ નોતર્યો નવરો,

સમયની થપાટે સુધરશે સૌ કોઈ “અશોક”

અપ ટુ ડેટ લિબાસ, છે અંદરથી ઇ લઘરો

– અશોકસિંહ વાળા

વિચક્ષણ પોલીસ અધિકારી શ્રી રાજ બ્રહ્મભટ્ટનું કહેવું છે, “Virtual friendship ! It feels good to be here. Most of us are known according to our profile. We find imaginary characters close to us through their posts, comments, blogs, photos etc. Most of us are bonded with third type of friendship. Yet there are chances  for first & second type friendships too. One thing is for sure, its eternal.”

અમારા મસ્ત મૌલા બલવંતસિંહ જેઠવા સાહેબે ફક્ત ચાર પંક્તિમાં ફેસબુકનો આભાર ઉમદા રીતે સાવ સરળતાથી માની લીધો,

               “ફેસબુકના ના સેતુંથી હૈયા આપણાં ફૂલ્યાં,

             બંધ કંઈક જુના દરવાજા ખૂલ્યાં.

             સ્નેહ સમંદરના મોજે રોજ ઝૂલ્યાં,

             મળ્યાં જુના દોસ્તો હતાં જેને ભૂલ્યાં.”

સંવેદનશીલ હૃદય ધરાવતા સ્વાતિબેન સુથારનું કહેવું છે, “કઈ નક્કી નથી કરી શકાતું કે કેવી મિત્રતા હોય છે એફ.બી. પર? માણસોનું એકબીજા સાથે કોમ્યુનીકેશન જ જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.. જેથી માણસ પોતાની સુખ કે દુખની લાગણી બીજા સાથે શેર કરી શકે અને સ્વસ્થ રહી શકે તન અને મન થી…પરંતુ અહીં આવું પણ બને જેને તમે ખૂબ સહૃદયી  મિત્રો માન્યા હોય.. એ જ તમારા માટે કૈંક ભળતો જ ઓપિનિયન રાખતા હોય ! અને ત્યારે !..તમારી એમના તરફની લાગણી ઓ ને ગળે ટૂપો આપી દેવો પડે…હોતા હૈ ચલતા હૈ…..!  જ્યારે ના વિચારેલા અજાણ્યા મિત્રો તમને ખૂબ મદદરૂપ બનતા હોય છે ! આપણી જાત ને ઠમઠોરી ને કેળવવા માટે પણ આવા સંબંધો જરૂરી છે, એમ માનવું.

પોતાના આગવા રાજકીય દ્રષ્ટિકોણ માટે જાણીતા શ્રી અમરીશ પટેલનું કહેવું છે કે, “ફેસબુક આપણ ને અલગ અલગ વયના સ્ત્રી અને પુરુષો કૉલેજમાં ભણતા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ અને વરિષ્ઠ નાગરિકોના મનમાં શું ચાલી રહ્યું છે જાણવાનું અદ્ભુત પ્લેટફોર્મ પૂરું પાડે છે. સામાન્ય સંજોગોમાં ૧૭ કે ૨૦ વર્ષના તરુણ કે તરુણી કે ગૃહિણીઓ કે અન્ય સ્ત્રીઓ જે તમારા થી ૫૦૦ કે ૧૦૦૦ કે ૨૦૦૦ કિલોમીટર દૂર રહેતા અલગ અલગ જાતિ અલગ અલગ ધર્મના વ્યક્તિ સાથે મિત્રતા કરવી અસંભવિત છે, ફેસબુક એ પ્લેટફોર્મ પૂરું પડે છે ફક્ત Add Friend ની ક્લિક દ્વારા ……….અલગ વ્યક્તિ…..અલગ સમાજ …અલગ પ્રશ્નો ….અલગ અલગ આશાઓ, કલ્પનાઓ વિચારો અને અલગ દ્રષ્ટી કોણ ……અલગ વ્યથા અને અલગ અલગ સંવેદનાનો અનુભવ કરાવે છે……………..ફેસબુક એ મહાસાગર છે જ્યાં મહેનત કરો તો મિત્રો રૂપી મોતી મળવાના જ છે ………મળ્યા વગર એકબીજા સાથે સંવેદના અનુભવવી એ ૨૧મી સદીની મિત્રતાની નવી પરિભાષા છે ……….જ્યારે મળીએ છીએ ત્યારે વધુ આનંદ અનુભવાય છે જેમ બાળપણનો મિત્ર ૧૦ કે ૧૫ વર્ષે મળતો હોય એવી લાગણી અનુભવાય છે. આફ્ટર ઓલ માણસ સામાજિક પ્રાણી છે, જૂથ વગર ટોળા વગર બેચેની અનુભવે છે, એકલતા હતાશા પ્રેરે છે, ત્યાં એફ બી આ એકલતાનો પ્રભાવ કે અસર કૈંક અંશે ઓછી કરે છે …..પરદેશમાં અજાણ્યા લોકોની વચ્ચે રહેતા લોકો પણ આ માધ્યમ થકી પોતાને પોતાના દેશમાં રહેતો હોય એ રીતે જોડી રાખે છે. અને એમાં નોંધવા પાત્ર વાત એ છે કે એમાં વિષયો ની વિવિધતા ખુબજ છે સંગીત ……રાજનીતિ …સામાજિક ……..ફિલ્મ્સ …..સ્પોર્ટ્સ ..સાયકોલોજી ……હ્યુમર ……..સંવેદનશીલ કથાઓ જે વાચકો ના જીવન સાથે સંકળાયેલી હોય છે ……..આમ રસ ના વિષયો વધતા જ જાય છે જે સારો સંકેત છે.”

દક્ષિણ ભારતીય કાનુડાને પોતાના હ્રદયનો રાજકુમાર બનાવીને બેઠેલા એક સંવેદનશીલ ગૃહિણી નિવારોઝીન રાજકુમાર ફેસબુક મિત્રતા વિષે ખૂબ જ હકારાત્મક વિચારો ધરાવતા કહે છે,

આજે ….FACEBOOK..વિશે એક હકારાત્મક અભિગમ…!

(સામાન્ય રીતે જરાક જુદી રીતે …જોવાતું , ચર્ચાતું હોય છે)

Fb..એક સમાજ છે …અલગ અલગ ઓળખ અને વિચારો ધરાવતા લોકો અહિં પણ જોવા મળે છે…બસ થોડું ધ્યાન થી જોવાની , સમજવાની જરૂર પડે…

FB.. એક પરિવાર છે….જરૂર પડ્યે હૂંફ કે સહારો કે થોડા સમય માટે સાથ તો અહિં મળી જ શકે છે…અહિં તમારી વર્તુળની પસંદગી પર બહુ આધાર રહે….નાના નાના ઝઘડાઓ થતા અને મિટતા મેં ખુદ જોયા છે….

FB.. એક મિત્રતા છે , જે અહિં પણ તમારા મારા પર આધાર રાખે છે ..કે આપણે કઈ રીતે નિભાવી શકીએ છીએ…અપેક્ષાના ધોરણો તમારે નક્કી કરવાનાં….

FB.. એક શાળા છે…જ્યાં નવું નવું શીખવાની ઘણી તકો છે..જો ઇચ્છો તો…ઘણું મેળવી શકાય….સારુ મેળવી શકાય…..

FB ..એક સંગઠન છે….જ્યાંથી અનેક સામાજિક પ્રથા-કુપ્રથામાં ફેરફારો શક્ય છે…. awareness..પણ પેદા કરી શકાય….opinion…લઈ શકાય…

FB ..એક સબળ માધ્યમ છે …જેના દ્વારા છૂટા પડેલા અનેક મિત્રો તમે પાછા મેળવ્યા છે….

FB ..એક પ્રવૃતિ છે…પોતાની ધણી બધી આવડતો લોકોને બતાવવાનું ઉત્તમ …છે…સંગીત ,કાવ્યો , લેખો કે એવી કોઈ સ્વતંત્ર ..creativity…..ને અહિં બહોળો અવકાશ છે…

FB.. એક રામબાણ ઇલાજ છે …એકલતા દૂર કરવા માટેનો…જે અહિં જોડાયેલા કેટલાય senior citizens …ને કુટુંબ જેવો …અપનાપનનો અહેસાસ કરાવે છે…ઉપરાંત નકારાત્મક વિચારો થી દૂર રાખે છે…અને સૌથી જરૂરી વાત…એમને …i m wanted ….અનુભવ કરાવે છે..

તમને શું લાગે છે…….?”

    નિવારોઝીન બહેન તમને જે લાગે છે તે જ મને તો લાગે છે. બીજા મિત્રોને પણ એવું જ લાગતું હશે તેમાં કોઈ શક હાલ તો લાગતો નથી. વધુમાં એમનું કહેવું છે કે, ”ગુજરાતી ભાષા જાણે થોડા સમય પછી પાછી આળસ મરડીને ઊભી થઈ હોય એવું જ લાગે છે…..જોરદાર અભિવ્યક્તિઓ જોવા મળી રહી છે….ક્યારેક ન વ્યક્ત થયેલા આત્માઓ વ્યક્ત થઈ રહ્યા છે….જમાપાસા ઘણા છે…થોડા ખરાબ પાસા અવગણીએ તો…..

છોટે ગુગલ મહારાજ શ્રી પૃથ્વિરાજસિંહ રાણા પોતાનો અનુભવ દર્શાવતા કહે છે,

“હું પણ યાહૂ વખતે તેમાં ગાંડા બની ગયેલા લોકો ને જોતો હતો આખી રાત રાત ચેટિંગ કરતાં હોય છે ને એ વખતે પણ એવા જ લોકો હતા જેઓ ને રિયલ લાઇફમાં કોઈ દોસ્તો નહોતા અથવા તો મતી અનુસાર દોસ્તો નોહતા ,,,, બરોબર એવ જ સમયમાં મારે રાજકોટથી વાંકાનેર આવાનું બન્યું ને ત્યારે આહિયા અકિલા ન્યૂઝ વાંચવું સમયના પ્રમાણમાં થોડું અઘરું બન્યું ને તે લીધે વળી નાછૂટકે નેટ પર આવ્યો ને તેમાંથી મામાના એકાઉન્ટમાં થી રાઓલજીના લેખની નોટ વાંચવાનું શરૂ જ કરતો હતો ને ત્યાર થી પછી હું પણ ફેસબૂકનો વ્યસની ક્યારે બની ગયો એ પણ ખબર નો પડી. આમ તમે રાઓલજી મારા આ દુર્વ્યસન માટે સીધી રીતે જ જવાબદાર છો (ને સજા રૂપે તમારે અમેરિકન સ્કોચ પિવડાવી પડશે ખી ખી ખી) એ બાદ કોમેન્ટમાં અને શાયરો ને કવિઓ ને 10\10 ની અંદર માર્ક આપીને કૉમેન્ટ કરતો હતો ને એમાંથી ક્યારે પક્ષ કે પ્રતિપક્ષ કોમેન્ટને બાદમાં પોસ્ટ કરતાં થાય ગયો એ તો હવે ખ્યાલ પણ નથી..  હા આજે પણ ગમતી પોસ્ટ કે કોમેત્ન ને લાઈક તો આપું જ છું ,,,બને ત્યાં સુધી ફ્રેંડલિસ્ટ નાનું રાખવા ની કોશિશ કરું છું ને સિલેકટેડ લોકો સાથે જ વોટ્સએપ કે ડાઇરેક્ટ મળવા નું પસંદ કરું છું ,,,ફેસબૂક ફંડા માટે એટલું જ કહીશ કે અહિંયાં થી મને વધારે મળ્યું છે…… ગુમાવવાની નોબત હાલ સુધી તો આવી નથી…… આગળ અલ્લાહ માલિક……

એકદમ બેલેન્સ્ડ વિચારો ધરાવતા યુવાન મિત્ર કૃણાલ રાજપૂતે તો આ બાબતે આખો નિબંધ જ લખી નાખ્યો છે. છતાં ટૂંકમાં એમના શબ્દોમાં જ જોઈએ. “ ફેસબુક આભાસી દુનિયા છે પણ વાસ્તવિક દુનિયા છે તે પણ ક્યારેક આભાસી નીકળતી હોય તેવું લાગે છે. જે પ્રેમિકાને દિલથી પ્રેમ કર્યો હોય તે ટાટા બાય બાય કરીને જતી રહે ત્યારે એમ થાય કે તો વાસ્તવિક શું હતું ? ક્યારેક પોતાનો કોઈ જીગરી મિત્ર જ બે પૈસા કમાઈ લે અને આપણે તેને અમસ્તાં મિત્રભાવે જ મળવા પહોચી જઈએ અને તેની વાતોમાં ફોર્માલીટી અને પોતાની સકસેસના શો ઑફની વાતો વધારે આવી ગઈ હોય ત્યારે એમ થાય અલ્યા જીવ, આ તો કોસ્મેટીક સર્જરી કરેલું કોઈ બીજું પ્રાણી લાગે છે. ફેસબુક જોઈન કર્યું હતું ત્યારના મિત્રવર્તુળમાંથી ઘણા વાસ્તવિક જીવનમાં થાય છે તેમ વિખેરાઈ ગયા, કેટલાક વૈચારિક મતભેદોથી જૂથોમાં વહેંચાઈ ગયા, કેટલાક નવા ઉમેરાયા. આપે કહ્યું કે કોઈ મિત્ર લાઈક કે કૉમેન્ટ ના આપે તો ખોટું લાગે. કાલે જ એક મિત્ર સાથે વાત થતી હતી કે અમુક વખતે જે પોસ્ટ લખવામાં ૩-૪ કલાક બગડ્યો હોય અને જેને વાંચવામાં પણ ૫ થી ૧૦ મિનિટ લાગે તેવી પોસ્ટ પર પણ અમુક મિત્રો અરધી કે એક મિનિટ માં લાઈક આપી દે ત્યારે એમ લાગે કે મિલ્ખાસિંઘ માત્ર દોડવામાં નહિ વાંચવામાં પણ પેદા થાય છે. આવા લોકો વાંચવામાં મિલ્ખાસિંઘની સાથે સમજવામાં ખુસવંતસિંઘ પણ હોતા હશે. હું પોતે લાઈકની વાડકી વહેવારમાં માનતો નથી. વગર વિચારે કે વગર વાંચે યંત્રવત લાઈક આપવી એ મને વહેવારુ લાગતું નથી. ક્યારેક વાંચી ના શક્યો હોઉં કે કોઈ મુદ્દા પર સમજાયું ના હોય અથવા તો કોઈ મુદ્દા પર મારું પોતાનું મંતવ્ય સ્પષ્ટ ના હોય તો હું લાઈક નથી આપતો. જોકે મોટાભાગે આવી પરિસ્થિતિ નહિ વાંચી શકવાના કારણે આવી ગયી હોય છે. હાલ હવે નવા મિત્રો એડ કરવાના લીમીટેડ કર્યા છે તેનું કારણ એજ છે કે દરેકની પોસ્ટ વાંચી નથી શકાતી. જોકે ફેસબુક નવા મિત્રો પણ બનાવી આપે જેમાં કેટલાક સાથે વાસ્તવિક જીવનમાં પણ મિત્ર બને છે. કેટલાક સાથે માત્ર ફેસબુક પૂરતી જ રામાશ્યામા હોય છે. પોતાના વિચારો સમજી ના શકે તેવું સામાજિક વર્તુળ ના હોય તેઓ અહીં પોતાના વિચારો રજૂ કરે અને તેમના વિચારોને / ક્રિએટીવીટીને પ્રોત્સાહન આપનારા મળી રહે. કોઈને કવિતા લખવાનો શોખ હોય અને તેના સામાજિક વર્તુળમાં કવિતા સંભળાવવી એ અક્ષમ્ય અપરાધ હોય તો તે અહીં પોતાની ક્રિએટીવીટી દર્શાવી શકે છે. આવા લોકો અહીં ફેસબુક પર ભેગાં થઈને પોલીસની દખલ વગર એકબીજા પર કવિતામારો કરી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિને તેના વિચારો સમજી શકે તેવા લોકો મળે ત્યારે તેને એકલવાયું ના લાગે પણ જો ટોળામાં પણ તેના વિચારો સાથે કોઈ અનુકૂળ ના હોય તો તે એકલતા અનુભવે. ફેસબુક ભલે વર્ચુઅલ પ્લેટફોર્મ હોય પણ તેની પાછળના વ્યક્તિત્વો તો વાસ્તવિક જ હોય છે એટલે માનવ સ્વભાવગત રેફ્લેક્સન પણ અહીં જોવા મળે છે.”

વિદ્વાન મિત્ર શ્રી જયેન્દ્ર આશરા એમના કોઈ મિત્રનો દાખલો કહે છે, “અમારા એક-નવા મિત્ર 2-વર્ષ પહેલાં ફેસબુક ઉપર પાગલ-ની-જેમ ચીપકી ને લાંબી-લાંબી કૉમેન્ટ કરતા … અને અમે તેમને પાગલ સમજતા … પણ જ્યારે રૂબરૂ મળવાનું થયું ત્યારે ખબર પડી કે – “તેઓ પત્નીથી અત્યંત દુખી હતા અને ડીપ્રેશનમાં આવી ગયેલા એટલે પછી કોઈ મિત્રની સલાહથી ફેસબુક એકાઉન્ટ ખોલ્યું અને જાણે વર્ષો-જુના મિત્રો મળ્યા હોય તેમ તેમને અનુભવ્યું … અમારા આ મિત્ર ખુબજ સારી કવિતાઓ કરી અને તેમનું માનસિક સંતુલન જાળવે છે અને હવે તેમનો ડંકો ફાઇનાન્સીયલ-માર્કેટમાં પણ વાગવા માંડ્યો છે” …. ટૂંકમાં – તેમને જબર-જસત માનસિક આર્થિક રાહત મળી છે .” આ થયો ફેસબુકનો હકારાત્મક ઉપયોગ. વધુમાં શ્રી જયેન્દ્રભાઈ એમના પોતાના વિચારો ઉમેરે છે, “મારા તમામ વિચારસાથી-વિચારવીરોધી મિત્રો મને અત્યંત પ્રિય છે … અહીં ગજબનું બેલેન્સ છે … કોઈનું કે તમારું અભિમાન પણ નાં વધે … અને તમે જમીન ઉપર ચીપકીને રોજ નવું શીખો તેવું અદ્ભુત-પરોક્ષ ફલક તે તમારું ઓક્સીટોસીન-ડોપામાઈન કંટ્રોલમાં રાખે છે … જ્યારે અહીં ઈસ્ટ્રોજન-ટેસ્ટેસ્ટીરોન પણ ઊભરાય છે..”

જોયું મિત્રો? ફેસબૂકનાં ફાયદા અનેક છે તો ગેરફાયદા પણ છે. એમાં ફેસબૂકનો કોઈ વાંક નથી.

રેફરન્સ

        :   http://www.sciencemag.org/content/241/4865/540.short

        :   http://www.pnas.org/content/early/2011/03/22/1102693108.abstract

        :   http://www.psy.cmu.edu/~scohen/Pressman,%20S.,%20Cohen,%20S.,%20Miller,%20G.%20E.,%20Rabin,%20B.%20S.,%20Barker.pdf

મિત્રતા-ફેસબુક ફંડા

imagesCADB57MYમિત્રતા-ફેસબુક ફંડા

જંગલમાં એકલો રહેતો હોય કે જેલમાં કાળકોટડીમાં એકલો પૂરેલો હોય, માનવી પશુ-પ્રાણી કે કોઈ પણ જીવજંતુ ને મિત્ર બનાવી લેતો હોય છે. મિત્રતાનો આધાર ત્રણ બાબતો ઉપર હોય છે. કે ત્રણ પ્રકારની મિત્રતા હોય છે. એક મિત્રતા ઉપયોગિતા પર આધાર રાખતી હોય છે. બીજી મિત્રતા આનંદપ્રમોદ ઉપર આધાર રાખતી હોય છે અને ત્રીજી મિત્રતા નૈતિકતા કે ચારિત્ર્ય અને ગુણો કે આચારવિચાર ઉપર આધાર રાખતી હોય છે.

સ્કૂલમાં વિદ્યાર્થીઓ એકબીજાને નોટ્સ, પુસ્તકો અને સાધનો વગેરેની આપલે કરતા હોય છે. પડોશીઓ એકબીજાની વસ્તુઓ શેઅર કરતા હોય છે. અમારા પાડોશી શાંતાબેન બે મરચાં, એકાદ લીંબુ કે એકાદ ડુંગળી લેવા કાયમ આવી જતા. આવી મિત્રતાનો આધાર ઉપયોગિતા ઉપર ટકતો હોય છે. ઉપયોગિતા ખતમ મૈત્રી ખતમ.

ઘણા મિત્રો ખૂબ હસમુખા હોય છે. એમની કંપનીમાં આનંદ આવી જાય. જોડે ફિલમ જોવા જઈએ. કોઈ પ્રોગ્રામ માણવા જઈએ. ઘણા ખર્ચાળ પણ હોય મિત્રો માટે પૈસા ખર્ચતા વાર નાં કરે. આમ એક મૈત્રીનો આધાર આનંદ-પ્રમોદ, મોજશોખ હોય છે. આનંદ ખતમ મૈત્રી ખતમ.

સદાચાર, સદભાવ, સમાન વિચારસરણી, ગુણ આધારિત નૈતિક મિત્રતા કાયમ ટકી જતી હોય છે. આવી મિત્રતામાં આનંદપ્રમોદ અને ઉપયોગિતા સમાયેલી હોય તે વાત જુદી છે. આવા મિત્રતામાં એકબીજાની સારપ વધુ જોવાતી હોય છે. એમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ હોય છે.

એક ઇન્ટરનેશનલ અભ્યાસ (McAndrew & Jeong, 2012) મુજબ ફેસબુકમાં સૌથી વધુ એક્ટીવ યુવાનો, સ્ત્રીઓ અને સિંગલ હોય છે. તેઓ ઇમ્પ્રેશન વધારવા માટે ફોટા, સ્ટેટ્સ અને પોસ્ટ અપડેટ કરવા બીજા લોકો કરતા વધુ સમય ફેસબુક પર ગાળતા હોય છે. ઓલ્ડર યુઝર્સ ફેમિલી રીલેટેડ ફેસબુક એક્ટીવીટીમાં વધુ વ્યસ્ત હોય છે. ટૂંકમાં યુવાન સ્ત્રીઓ ઇચ્છતી હોય કે લોકો તેમને વધુ જુવે અને ઓલ્ડર યુઝર્સ ફેમિલી સાથે સંપર્કમાં રહેવા ઇચ્છતા હોય છે.

રોજીંદી જીવન ઘટમાળમાં આપણે નાના મોટા અસ્વીકાર અવહેલના ભોગવતા જ હોઈએ છીએ. સાથે કામ કરતા સાથીઓ આપણને મૂકીને લંચ લેવા જતા રહેતા હોય, સગાસંબંધી આપણો જન્મદિવસ ભૂલી જતા હોય, પડોશીઓ એમના ત્યાં રાખેલી પાર્ટીમાં આમંત્રણ આપતા નથી, મિત્રો આપણને મૂકીને ફિલ્મ જોવા જતા રહેતા હોય, પતિ કે પત્ની એકબીજાની કામેચ્છા પૂરી કરવાની વિનંતીનો કઠોર અસ્વીકાર કરતા હોય, કોઈને કોઈ દ્વારા આપણી લાગણીઓ ઘવાયા વગર ભાગ્યેજ કોઈ દિવસ કે અઠવાડિયું પસાર થાય. પણ હવે Facebook, Twitter, Linkedin, Instagram જેવી અનેક સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ આપણને લાગણીઓમાં તરબતર કરવા આવી પહોચ્યાં છે, પણ જેટલી સ્વીકારની સંભાવનાઓ વધે તેમ અસ્વીકારની સંભાવનાઓ પણ ખૂબ વધી જતી હોય છે. એટલે કોઈ મિત્ર લાઈક આપવાનું ભૂલી જાય કે રિટ્વીટ કરવાનું ભૂલી જાય ત્યારે પેલાં રિઅલ લાઇફ રિજેક્શન જેવું અહીં પણ અનુભવાય છે. આપણા ટહુકા નો કોઈ પ્રતિસાદ આપવામાંથી છટકી જાય ત્યારે ખૂબ લાગી આવતું હોય છે. લાઈક કોમેન્ટ્સનાં વાટકીવ્યવહાર ના સચવાય તે એક જાતનો સામાજિક બહિષ્કાર જેવું લાગતું હોય છે.

સમજો જ્યારે આપણે કાયમ પાડોશીને નાની મોટી પાર્ટીમાં યાદ રાખીને બોલાવતા હોઈએ પણ તેના ઘેર પ્રસંગ આવે ત્યારે આપણને ભૂલી જાય ત્યારે જે દુઃખ થાય કે લાગણી ઘવાય છે તેવી જ સરખી અનુભૂતિ અહીં ફેસબુકમાં તમને કોઈ મિત્ર દ્વારા લાઈક કે પ્રતિભાવ નાં મળે ત્યારે થતી હોય છે. શારીરિક પેએન વખતે બ્રેનમાં જે વિભાગો વધુ હલચલ બતાવે છે તે જ વિભાગો સામાજિક અસ્વીકાર વખતે પણ વધુ હલચલ બતાવતા હોય છે. એટલે તમને પગમાં ઠેસ વાગે અને અંગૂઠામાં દુખાવો થાય ત્યારે, અને કોઈ સગા એમના ઘેર સારા પ્રસંગે આપણને યાદ નાં કરે અને આપણી લાગણી ઘવાય ત્યારે, અને આપણો મિત્ર આપણી પોસ્ટને લાઈક નાં આપે કે પ્રતિભાવ નાં આપે ત્યારે બ્રેનમાં સેઇમ વિભાગ એક્ટીવ થતા હોય છે. જો આટલું સમજાઈ જાય તો હવે કોઈ લાઈક નાં આપે તો દુઃખ ઓછું થશે.

ઘણીવાર આપણે વધુ પડતું વિચારી લેતા હોઈએ છીએ. માનો કે આપણે કોઈને Linkedin માં જોડાવા આપણી સાથે આમંત્રણ આપીએ પણ તે સ્વીકારે નહિ તો ખોટું લાગતું હોય છે પણ એવું બને કે પેલો ભાઈ Linkedin કદી ખોલતો જ નાં હોય કે વાપરતો જ નાં હોય. હું પોતે ટ્વીટર પર જતો નથી. મારા લેખોની લિંક ઓટ્મેટિક ટ્વીટર પર આવી જતી હોય છે. હું ગુગલ પ્લસ પણ ખાસ વાપરતો નથી. એટલે મને તે સાઈટ્સ પર કોઈ શું કરે મને ખાસ ખબર હોતી નથી. ફેસબુક ઉપર પણ હું આખો દિવસ હોઉં નહિ. બીજું અમારો ટાઈમ ડિફરન્સ પણ ધ્યાનમાં રાખવો પડે. અમારો સુવાનો ટાઈમ થાય ત્યારે તમે કોઈ પોસ્ટ મૂકી હોય જેની અમને જાણ થાય નહિ. હજારો પોસ્ટ અને સ્ટેટ્સ મૂકાતાં હોય ત્યાં કોઈ મિત્રનું ક્યાંય પહોચી ગયું હોય દેખાય પણ નહિ. એટલે જો આપણને સોશિઅલ મીડિયા પર ૧૦૦૦ વખત અસ્વીકાર(રિજેક્શન) અનુભવાય ત્યારે ૯૯૯ વખત કોઈનો અંગત ઇરાદો એવું કરવાનો હોતો નથી. ઘણી બધી જાતજાતની પોસ્ટ મૂકાતી હોય, ફોટા હજારો જાતના મુકાતા હોય છે. મને પોતાને ફોટા મૂકવામાં રસ નથી પડતો. અને એવા મૂકેલા ફોટા પ્રત્યે મારું ખાસ ધ્યાન પણ નાં હોય. દરેકના રસ જુદાજુદા હોય. એટલે જેટલું સોશિઅલ મીડિયા પર સમૃદ્ધ થવાની તકો હોય તેટલી જ તકો રિજેકશનની પણ હોય છે.

ફેસબુક પર લાખો પેજ છે. હેલ્થને લગતા હજારો પેજ હશે. હજારો લાખો ગ્રુપ્સ ચાલતા હશે. જેને જે ભાવે તેમાં જોડાઈ જાય. પોતાના ધંધાની જાહેરાતના પેજ હોય છે તેમ નિઃસ્વાર્થ સેવાભાવી સંસ્થાઓના પણ પેજ છે. આતો જાહેર અન્નકૂટ છે જેને જે ભાવે તે ખાઈ લે.

ફેસબુક વાપરતા બાળકોનાં માતાપિતા ચિંતા કરતા હશે કે એનાથી બાળકોની બુદ્ધિમત્તા પર અસર પડશે. પણ એક અભ્યાસ એનાથી ઊલટું કહે છે. જો કે વધુ પડતો ઉપયોગ સમય બગાડે તે હકીકત છે. પણ અભ્યાસ જતાવે છે કે જે ૧૫-૧૮ વર્ષના બાળકો એક વર્ષ કરતા વધુ સમયથી ફેસબુક વાપરતા હોય તેઓની વર્કિંગ મૅમરી, વર્બલ આઈ કયું, અને સ્પેલિંગ જ્ઞાન એક વર્ષ કરતા ઓછા સમયથી ફેસબુક પર એક્ટીવ હોય તે બાળકો કરતા વધુ હોય છે. કારણ આખી દુનિયામાંથી માહિતીનો ધોધ અહીં વહેતો હોય છે. એની સાથે અનાયાસે રમતા રમતા અનાયાસે ચિંતનમનન થઈ જતું હોય છે.

એક અભ્યાસ જણાવે છે કે ૫૦ વર્ષ વટાવ્યા પછી એકલતા માનવીમાં બ્લડ પ્રેશર વધારવાનું કામ કરતી હોય છે. એટલે એકલતાના નિવારણ માટે મિત્રો હોય તે જરૂરી છે. પણ એવું જરૂરી નથી કે એકલતા દૂર કરવા અસંખ્ય મિત્રો જોઈએ. કે જેમ મિત્રો વધુ તેમ એકલતા વધુ દૂર રહે. એકલતા તમે કેટલા એકલા છો તેના પર આધાર નથી રાખતી પણ તમે કેટલું એકલવાયું અનુભવો છો તેના પર આધાર રાખે છે. ઘણીવાર સગાંસંબંધીઓનાં ટોળા વચ્ચે પણ માણસ એકલતા અનુભવતો હોય છે. ક્યારેક બહુ મોટી પાર્ટીમાં પણ ઘણીવાર એકલતા અનુભવાતી હોય છે. અને ક્યારેક મારા જેવાને સારા પુસ્તકો વાંચવા મળી જાય તો એકલો હોઉં તો પણ એકલતા લાગે નહિ..આમ મિત્રતામાં ગુણવત્તા વધુ મહત્વની છે સંખ્યા નહિ. બહુ ઓછા મિત્રો સાથે પણ એકલતા નિવારી શકાતી હોય છે. અરે! જેની હાજરીમાં એકલતા ગાયબ થઈ જાય તે સારો મિત્ર, બોર નાં કરે તે સારો મિત્ર, જેની હાજરીમાં કમ્ફર્ટેબલ ફીલ કરી શકાય, જેને મળીને જ ખુશ થઈ જવાય, તે સારો મિત્ર..

ફેસબુક પર ગમે તેટલા ફ્રેન્ડસ હોય ખરેખર આપણે બહુ ઓછા મિત્રો સાથે interact ક્રિયાપ્રતિક્રિયા કરી શકતા હોઈએ છીએ. ૫૦૦ મિત્રો ફેસબુક પર હોય તો ભાગ્યેજ ૧૫-૧૭ મિત્રો સાથે અરસપરસ interact કરી શકતા હોઈએ છીએ એવું એક અભ્યાસ બતાવે છે. આ વર્ચ્યૂઅલ ફેન્ડશીપ ક્યારેક રિઅલ મિત્રતામાં પણ બદલાઈ જતી હોય છે. પરદેશમાં રહેતા ફેસબુક મિત્રો દેશમાં આવીને વર્ચ્યૂઅલ મિત્રોની મુલાકાત લઈને એમને રિઅલ મિત્રો પણ બનાવી લેતા હોય છે.

ફેસબુક કે બીજી કોઈપણ સોશિઅલ વેબસાઈટ ઘણા માટે જાત સાથેની ઓળખ પણ બની શકતું હોય છે. હું શરૂમાં ફેસબુક પર ખાસ આવતો નહિ. મને ખુદને ખબર નહોતી કે આ ઇન્ટરનેટ મને લખતા કરી દેશે. મેં સપને પણ વિચાર્યું નહોતું કે હું લખતો થઈ જઈશ. શરૂમાં મેં ઓનલાઇન વાંચવા મળતા દિવ્યભાસ્કરમાં કોઈ લેખ નીચે ટિપ્પણી લખવાનું શરુ કરેલું. એમાંથી પોતાનો બ્લોગ બનાવી લખવાનું શરુ કરેલું. તે સમયે મારા વિચારો અસ્તવ્યસ્ત રીતે લખીને બ્લોગમાં મૂકતો થયેલો. પણ બીજા બ્લોગર મિત્રોએ એને સરાહવાનું શરુ કર્યું એમાં મને વધુને વધુ લખવાની ચાનક ચઢવા લાગી. ધીમે ધીમે ઘડાતો ગયો અને લખાણ પણ સુધરતું ગયું. ફેસબુક પર ભાગ્યેજ આવતો. ફેસબુક પર સૌ પ્રથમ મારી જાહેર ઓળખ આપનાર મિત્ર દર્શિત ગોસ્વામી બન્યા. એમણે મારો એક લેખ મારા નામ સાથે ફેસબુક પર પ્રસિદ્ધ કર્યો એને મિશ્ર પ્રતિભાવો મળેલા. થેન્ક્સ દર્શિત.

ફેસબુક દ્વારા મને ખૂબ સારા મિત્રો મળ્યા છે. તમારી અંદર છુપાયેલી પ્રતિભા બહાર કાઢવાનું ફેસબુક સારું માધ્યમ બની શકે છે. ઈમેલ અને બ્લોગ દ્વારા બહુ ઓછા મિત્રો સાથે સંપર્કમાં રહી શકાય છે પણ ફેસબુક દ્વારા એકસાથે અનેક મિત્રો અને સગાસંબંધી સાથે સંપર્કમાં રહી શકાય છે. જૂની ઓળખાણો તાજી થતી હોય છે. કોઈપણ વસ્તુની સારીનરસી બાજુઓ હોય છે તેમ ફેસબુકને પણ હોય છે. કૉલેજ સ્ટુડન્ટ વચ્ચે કરાયેલો એક અભ્યાસ જતાવે છે કે જે લોકો ફેસબુક ઉપર પોસ્ટ અને સ્ટેટ્સ વધુમાં વધુ અપડેટ કરતા રહેતા હોય છે તેઓ સામાન્ય સંખ્યામાં સ્ટેટ્સ અને પોસ્ટ અપડેટ કરતા લોકોની સરખામણીએ ઓછી એકલતા અનુભવતા હોય છે.

સારી તંદુરસ્તી માટે આપણને ખબર છે કે પૌષ્ટિક ખોરાક લો, નિયમિત કસરત કરો, અને પૂરતો આરામ કરો, પણ કેટલા જાણે છે કે એની સાથે સામાજિક જોડાણ પણ મહત્વ ધરાવે છે? સામાજિક જોડાણ શારીરિક અને માનસિક હેલ્થ ઈમ્પ્રુવ કરે છે તે પણ જાણવા જેવું છે. વધુ પડતું વજન હેલ્થ માટે નુકસાનકારક છે જ પણ તેના કરતા વધુ નુકશાન જો તમે સામાજિક સંબંધો નાં ધરાવતા હોવ ત્યારે થતું હોય છે તેવું પણ એક અભ્યાસ જણાવે છે. ખૂબ મજબૂત સોશિઅલ કનેક્શન ધરાવતા લોકોનું આયુષ્ય વધવાના ચાન્સ ૫૦ ટકા વધી જતા હોય છે. સોશિઅલ કનેક્શન આપણી ઈમ્યુન સિસ્ટિમ મજબૂત કરે છે. Steve Cole નામના વૈજ્ઞાનિકે રિસર્ચ કરેલું છે કે સોશિઅલ કનેક્શન આપણી ઈમ્યુન સિસ્ટિમ ઈમ્પ્રુવ કરે છે જેના લીધે બીમારીમાંથી જલદી બહાર આવી જવાય છે અને તેના લીધે આયુષ્ય પણ વધે છે. જે સામાજિક રીતે બીજા લોકો સાથે વધુ કનેક્ટેડ હોય છે તેઓને anxiety અને depression ઓછું થતું હોય છે. સામાજિક મજબૂત જોડાણ સેલ્ફ એસ્ટીમ વધારે છે, બીજા પ્રત્યે સહાનુભૂતિમાં વધારો કરે છે સાથે સાથે સહકારની ભાવના વિકસે છે, તેનો લાભ બીજાને મળે તો સામેથી આપણને પણ મળતો જ હોય છે. “પરસ્પર દેવો ભવઃ”

ઓછું સામાજિક જોડાણ ધરાવતા લોકોની શારીરિક અને માનસિક હેલ્થ ઓછી થતી જાય છે જેના લીધે એન્ટીસોશિઅલ પ્રવૃત્તિ વધવાનું જોખમ પણ વધી જતું હોય છે તેમ તેમ એકલા પડવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે. એન્ગઝાયટિ, ડિપ્રેશન અને અસામાજિક વૃત્તિઓ સામે અસહાયતા ક્યારેક આત્મહત્યા તરફ દોરી જાય છે.  We are biologically, cognitively, physically, and spiritually wired to love, to be loved, and to belong. આવું ના બને તો ભાંગી પડાતું હોય છે, સંવેદનહીન બની જવાતું હોય છે જે એકંદરે નુકશાન કરતું હોય છે. આપણે વિચારીએ છીએ કે આપણે ધનિક થવા માંગીએ છીએ, સત્તા અને પ્રસિદ્ધિ મેળવવા માંગીએ છીએ, સૌન્દર્ય અને અમર યુવાની ઇચ્છીએ છીએ, નવી કાર જોઈએ છે, પણ આ બધી ઇચ્છાઓના મૂળમાં સામાજિક સ્વીકાર ઇચ્છતા હોઈએ છીએ, કોઈને પોતાના બનાવવા અને કોઈના બનવા માંગતા હોઈએ છીએ. હવા, ખોરાક અને પાણી સાથે સોશિઅલ કનેક્શન આપણી મૂળભૂત ચોથી જરૂરિયાત છે.

મૂવી જોતા વખતે આપણે ભૂલી જતા હોઈએ છીએ કે આ પડદા પર નૃત્ય કરતા દ્ગશ્યોના ટુકડા એકધારા લયમાં ઝડપથી પસાર થતા પારદર્શક ચિત્રો જ છે. આપણે એમાં માનસિક રીતે ઇન્વોલ્વ થઈ જતા હોઈએ છીએ. બસ તેવું જ ફેસબુક જેવા વર્ચ્યૂઅલ જગતનું પણ છે. અને ખરેખર આ વર્ચ્યૂઅલ જગત વર્ચ્યૂઅલ પૂરેપૂરું હોતું પણ નથી. ભલે આપણે ફેસબુક મિત્રોને મળ્યા નાં હોઈએ પણ હકીકતમાં તેઓ બીજા દેશમાં કે શહેરમાં બેઠેલા હોય છે તો ખરા જ. ફેક આઈડી પાછળ પણ કોઈ જીવંત વ્યક્તિ છુપાયેલો તો હોય જ છે. એવા મિત્રોને ખરેખર મળવાના ચાન્સ ૧૦૦ ટકા હોય જ છે. એટલે ભલે ના મળ્યા હોઈએ એમના સુખે સુખી અને એમના દુઃખે દુઃખી પણ થવાતું જ હોય છે, એના માટે કોઈ રિસર્ચની જરૂર નથી. જેને હું કાયમ ઝાઝું લક કહીને સંબોધન કરતો હતો તે ઝલક પાઠકની કાયમી વિદાયનાં સમાચાર સાંભળી વહેલા આંસુ વર્ચ્યૂઅલ નહોતા તે એની સાબિતી છે.

રેફરન્સ

        :   http://www.sciencemag.org/content/241/4865/540.short

        :   http://www.pnas.org/content/early/2011/03/22/1102693108.abstract

        :   http://www.psy.cmu.edu/~scohen/Pressman,%20S.,%20Cohen,%20S.,%20Miller,%20G.%20E.,%20Rabin,%20B.%20S.,%20Barker.pdf

ડાર્વિન સામે બોલાય નહી ? બોલાય. કેમ ના બોલાય ?

th=-ડાર્વિન સામે બોલાય નહી ? બોલાય. કેમ ના બોલાય ?

ઘણાં મિત્રોની માનસિકતા ઉત્ક્રાંતિમાં માનવા જ તૈયાર હોતી નથી. ઉત્ક્રાંતિ તો હરપળે ચાલું જ હોય છે પણ આપણને દેખાતી નથી. આપણે મહામાનવો અને ક્ષુદ્ર વાનર આપણો પૂર્વજ કઈ રીતે હોઈ શકે ? જે મનુષ્યોએ ભવ્ય ગ્રંથો તૈયાર કર્યા હોય, વેદોની રચના કરી હોય, ખગોળનું અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, શૂન્યનું સર્જન કર્યું હોય, ગણિત અને ભાષાની રચના કરી હોય સૂર્ય અને ચન્દ્રગ્રહણની સચોટ આગાહી કરી હોય એ મનુષ્ય શું વાનરનો વંશજ હોઈ શકે ? આપણાં મનમાં આવા અનેક સવાલો ઊઠતા હોય છે. એવું લાગતું હોય છે કે માનવી કોઈ સ્વર્ગ જેવા ઉપગ્રહમાંથી અહીં ભૂલો પડી ગયો હશે. એનું વિમાન બગડ્યું હશે અને કમનસીબે અહીં પૃથ્વી ઉપર રોકાઈ જવું પડ્યું હશે.

ઉત્ક્રાંતિનો પ્રોસિજર ખૂબ ધીમો હોય છે. ઘણાં મિત્રોના મનમાં અનેક સવાલો ઊઠતાં હોય છે. સવાલો ઊઠવા જ જોઈએ એનાં વગર જ્ઞાન આગળ કઈ રીતે વધે ? વાનરમાંથી ઉક્રાંતિ થઈ માનવ બન્યો એટલે દર વખતે જરૂરી ના હોય કે દરેક માનવ વાનરમાંથી પેદા થાય. આપણે એવું વિચારીએ કે હવે વાનર રહેવા જ ના જોઈએ બધા માનવ બની જાય તેવું પણ ના બને. કરોડો અબજો વર્ષે ધીમે ધીમે જીવો વિકસતા હોય છે. પુંછડીવાળા વાનરોમાંથી કશું બન્યું હશે કોઈ જિનેટિક ફેરફાર મ્યુટેશન થયું હશે કે એક વાનર પ્રજાતિમાંથી જરા જુદી જાતનો પૂંછડી વગરનો વાનર પેદા થયો હશે, એટલે જરૂરી નથી કે દરેક વખતે અને દરેક વાનર પેટાજાતિમાંથી પૂંછડી વગરના વાનરો પેદા થવા જ જોઈએ.

એક સાદો દાખલો આપુ તો સમજવામાં સરળ રહેશે. જૂનાગઢના નવાબના અંગત બગીચામાં ‘જમાદાર’ નામની કેરીનો એક આંબો હતો. એકવાર એની એક ડાળી ઉપર જરા જુદી જાતની કેરી બેઠી હતી. નવાબે એ ડાળ ઉપરની તમામ કેરીઓ જુદી તારવવાનો હુકમ આપ્યો. કેરી બહુ સરસ મીઠી હતી, એની સોડમ પણ અલગ જ હતી. કોઈ કુદરતી મ્યુટેશન થયું હોવું જોઈએ. એ કેરીના ગોટલા ભેગાં કરી ફરી વાવીને એની જાત ફેલાવવામાં આવી તે આજની જગમશહૂર ‘કેસર’ કેરી. હવે દર વખતે ‘જમાદાર’ કેરીમાંથી જ કેસર પેદા કરવી થોડી પડે ? અને જમાદાર કેરી તો રહી જ અને કેસર નવી બની. વાનર તો રહ્યો જ અને એમાંથી માનવ મળ્યો. હવે જરૂરી નથી કે જમાદાર કેરીના તમામ ગુણ કેસરમાં જોઈએ જ. વાનર ચાર માળ પલકમાં ચડી જાય, ઝાડ ઉપર કુદકા મારે તો માનવે જરૂરી નથી વાનરવેડા કરવા જ પડે, કરતા હોય છે તે વાત જુદી છે.

thCAEH5X03માનવ એવરેસ્ટ ચડે છે વાનરો નથી ચડતા. કૂતરાં કરતાં ચિમ્પૅન્ઝી પાસે ત્રણ ગણું મોટું બ્રેન છે અને ચિમ્પૅન્ઝી કરતાં માનવ પાસે ત્રણ ગણું મોટું બ્રેન છે. માનવ પ્લેન શોધે છે વાનરો નહી ભલે એક અગાસી ઉપરથી બીજી અગાસી પર હવાઈપ્રવાસ કરતાં કૂદી જતાં હોય. હવે આપણે અગાસીઓ કૂદવા જઈએ તો પ્લેન ક્યારે શોધીશું ?

એક બુદ્ધિશાળી મિત્રના મનમાં સવાલ ઊઠ્યો કે સર્પમાંથી કે હાથીમાંથી કેમ મનુષ્યો પેદા ના થયા ? એમને અહીં દેખાયું નહી કે ઉત્ક્રાંતિને કારણે સર્પ જેવાં જીવોમાંથી સસ્તન પ્રાણીઓ પેદા થયાં અને એમાંથી જ ઉત્ક્રાંતિ થઈને વાનર જેવાં બુદ્ધિશાળી પ્રાણી પેદા થયાં. સર્પ અને માનવ વચ્ચે અગણિત કડીઓ પેદા થઈ એને જ તો ઉક્રાંતિ કહેવાય. સર્પમાંથી જ માનવ પેદા થયો છે પણ સર્પ અને માનવ વચ્ચેની અસંખ્ય કડીઓ જોવાની દરકાર આપણે કરતાં નથી. સર્પમાંથી સીધો માનવી પેદા થાય તો ઉત્ક્રાંતિ ના કહેવાય. બ્રેન પણ જુઓ હજુ આપણી પાસે સર્પનું બ્રેન પણ છે અને આદિમ પ્રાણીઓનું આદિમ મૅમલ બ્રેન પણ છે. આપણે રેપ્ટાઇલ બ્રેન ઉપર મૅમલ બ્રેન એની ઉપર કૉર્ટેક્સ ધરાવીએ છીએ.

મધર નેચરની કરામત જુઓ નવી જાત પેદા કરે છે પણ જુની જાત સાથે સાથે જાળવી રાખે છે. ઉત્ક્રાંતિ વાનરમાંથી માનવ પેદા કરે પણ વાનરનો નાશ નથી કરતી. એક બાપના બે દીકરા હોય એક જરા જુદી જાતનો ખોડીલો પેદા થાય અને એક એના બાપ જેવો અદ્દલ હોય. હવે બાપ જેવા અદ્દલ દીકરાની જાત પણ કુદરત જાળવી રાખે અને પેલાં ખોડીલાંની જાત પણ આગળ વધે. હવે આ ખોડીલો આગળ જતાં વિશિષ્ટ પ્રકારનો ગણાય એવું માનવમાં સમજવું. બાપ જેવો અદ્દલ એટલે ચિમ્પૅન્ઝી ગણો.. અને ખોડીલો દીકરો માનવ સમજો. ૬-૮ મિલ્યન વર્ષ પહેલાં આ પૃથ્વી ઉપર પૂંછડી વગરના એપ્સ નો દબદબો હતો. મોટાભાગની નાશ પામી ગઈ. ફક્ત ચાર-પાંચ જ બચી છે. ગરિલા(Gorilla), ગિબન(Gibbon), ઉરાંગઉટાંગ અને ચિમ્પૅન્ઝી-બોનોબો, ચિમ્પૅન્ઝી અને બોનોબો કાકા-બાપાના ભાઈઓ જેવાં છે. પાંચમી કે છઠ્ઠી ગણો તો આપણે મહામાનવો. આપણે નસીબદાર છિયે કે આમાંની એક ગિબન આપણાં આસામના જંગલોમાં છે.

૬૦ લાખ વર્ષ જુનું એક ફોસિલ મળ્યું છે, એનો અભ્યાસ કરતાં જણાયું કે કોઈ જિનેટિક ખોડ આવતાં એ પ્રાણી બીજાં પ્રાણીઓની જેમ ચાર પગે ચાલવા અસમર્થ બન્યું તે આજના માનવીનો પૂર્વજ હતું. ઉત્ક્રાંતિએ કોઈ પ્રાણી બે પગે ચાલે તેની ભવિષ્યની યોજના રૂપે સંપૂર્ણ ચાર પગે ચાલતા વાનરો કરતાં ચિમ્પૅન્ઝી જેવાં પ્રાણીઓને નકલ વૉકિન્ગ કરતાં કરી દીધાં જ હતાં. ચિમ્પૅન્ઝી જેવાં પ્રાણીઓ આગળના બે પગ બીજાં પ્રાણીઓ જેવા નથી મૂકતા અને થોડો સમય બે પગે ઊભા થઈને પણ ચાલે છે.

૩૦ લાખ વર્ષ જુનું લુસી નામનું ફોસિલ મળ્યું છે જે અર્ધ માનવી અર્ધ વાનર છે. આ ઉત્ક્રાંતિ જ છે. પણ જે જાતો ફિટ અને ફ્લેક્સિબલ રહેતી નથી તેનો નાશ પણ થઈ જાય. એવી તો કેટલીય જાતો સંપૂર્ણ નાશ પામી જ છે. લુસી જેવી જાત આજે જોવા ના પણ મળે. મળેલા ફોસિલ આધારે વૈજ્ઞાનિકોનું માનવું છે કે જુદી જુદી જાતની ચાર જાત માનવોની આ પૃથ્વી ઉપર હતી. જે કદાચ જુદી જુદી જાતના વાનરોમાંથી ઉત્ક્રાંતિ પામી હશે. એમાંથી નિએન્ડરથલ તો ઉત્તર ગોળાર્ધના કાતિલ ઠંડા હવામાનમાં જીવવા ટેવાએલા હતાં. જર્મનીની એક ખીણમાંથી ૩૦૦ હાડપિંજર મળ્યાં છે એને નિએન્ડરથલ વેલી કહે છે. પણ હવે નિએન્ડરથલ માનવી રહ્યા નથી.

મહકાય મેમથ હાથીઓ આજે રહ્યા નથી પણ એના પૂરાવા છે જ, તેમ બકરી જેવડા હાથીઓના ફોસિલ પણ મળ્યા છે. વેંતિયા માનવીની વાર્તાઓ ખોટી નથી. ઇન્ડોનેશિયામાંથી એક બાળકનું મનાતું ફોસિલ મળ્યું જે પુખ્ત ઉંમરની સ્ત્રીનું નીકળ્યું હતું. મોટામસ ડાયનોસોર તો નાશ પામી ગયા પણ નાના ડાયનોસોર અને હાલના પક્ષીઓની વચ્ચેની કડીરૂપ પાંખો વિકસી હોય તેવાં ડાયનોસોરના ફોસિલ પણ મળ્યાં જ છે. અમુક મૂરખો ઉત્ક્રાંતિના આ જ પુરાવાઓનો ઉત્ક્રાંતિ ખોટી છે તેવું સાબિત કરવા કરતા હોય છે ત્યારે ખૂબ હસવું આવે છે.

આ વિજ્ઞાન જગતમાં તમે કોઈ થીઅરી મૂકો તો લાખ સાબિતીઓ આપવી પડતી હોય છે. આઈનસ્ટાઈન એક સમીકરણ વિજ્ઞાન જગત આગળ મૂકે તો હજારો વૈજ્ઞાનિકો એને ખોટું પાડવા ખાઈખપુચીને એની પાછળ પડી જતાં હોય છે. એકલાં હિટલરે હજાર-પંદરસો વૈજ્ઞાનિકો આઈનસ્ટાઈનને ખોટો પાડવા રોકેલા જ હતા. પણ વિજ્ઞાન જગત એ બાબતે પ્રમાણિક હોય છે. એ લોકોનું કશું વળ્યું નહી, ત્યારે આઈનસ્ટાઈન બોલ્યા હતા કે મારો સિદ્ધાંત ખોટો હોત તો એને ખોટો પાડવા એક જ વૈજ્ઞાનિક કાફી હોત.

ડાર્વિન સામે બોલાય નહી ? બોલાય. કેમ ના બોલાય ? કોઈ બોલ્યું નહી હોય તેવું માનો છો ? આ કોઈ બાવાઓનું જગત છે કે બાવાજી એ કહ્યું એટલે માની લીધું ? જા બચ્ચા સૂરજદાદા કો એક લોટા જળ ચડા દેના મેરા વચન હૈ તેરા કલ્યાણ હો જાવેગા, તાળીઓ પાડી બાવાજીના ગંદા ચરણે પડી મનમાં ખુશ થતાં ભાઈ ચાલી નીકળ્યા કે હવે તો એક લોટા ટાંકીના પાણીને બદલે આખું રાજપાટ મળી જવાનું. અરે ! મૂરખ તારા લાખો પેસિફિક અને કરોડો હિંદ મહાસાગર એક પલમાં સૂરજદાદા આગળ બાષ્પ બની જાય તેની નજીક જાય તો. ગરમ વસ્તુ ઠંડી પાડવા આપણે એના ઉપર પાણી રેડીએ છીએ, દાઝી જવાય તો એના પર પાણી રેડીએ એમ બાવાજીના મનમાં સૂર્યને એક લોટા જળમાં ઠંડા પાડી દેવાય તેવું હશે.

પ્રૉબ્લેમ એ છે કે આપણે કહેવાતા ધર્મના જગતમાં એના ઠેકેદારોના મૂર્ખામી ભર્યા ફતવાઓ સામે બોલી શકતા નથી એટલે લાગે કે વિજ્ઞાન જગતમાં ડાર્વિન કે આઈનસ્ટાઈન જેવા લોકો સામે કોઈ બોલતું નહી હોય કે બોલ્યું નહી હોય. ડાર્વિન એની થીઅરી બહાર મૂકતાં ગભરાતો હતો. ચર્ચ તો સામે ઊભું જ હતું પણ બીજા વૈજ્ઞાનિકો પણ એને ખોટી પાડવા તૈયાર ઉભા હતાં. વૈજ્ઞાનિકોના ગળા રહેંસી નાખવા ચર્ચ જાણીતું હતું એ તમને ક્યાં ખબર છે ? બાવાજી બૂટી સુંઘાડે અને લોકો માની જાય તેવું વિજ્ઞાનવિશ્વમાં હોતું નથી. આપણા જેવા બાલિશ નહી પણ નક્કર સવાલો લઈને બીજા વૈજ્ઞાનિકો ઊભા હોય છે. ડાર્વિને તૂત ચલાવ્યું હોત તો વૈજ્ઞાનિકોએ ક્યારનું ફેંકી દીધું હોત.

અરબો દ્વારા આપણું ગણિત પશ્ચિમ પહોચ્યું ત્યારે ૧૩મી સદીમાં ચર્ચે શેતાનનું કામ છે કહી બૅન કરી દીધેલું. અરબસ્તાનમાં પહેલીવાર ટેલિફોનના તારનું જોડાણ કરવામાં આવ્યું ત્યારે મુલ્લાઓએ ધર્મ વિરુદ્ધ છે કહી જોરદાર વિરોધ કરેલો. હવે પયગંબરના સમયમાં ટેલિફોન હતા પણ નહી કે એની વિરુદ્ધ કશું લખ્યું હોય. સુલતાન ઇબ્ન સઉદને સરસ મજાની યુક્તિ સૂઝી. તેમણે ટેલિફોન પર કુરાનના પાઠનું વાંચન ચાલુ કરાવ્યું અને એક જાહેરસભા બોલાવીને પ્રચાર કર્યો કે જે વ્યવસ્થા કુરાનનો પાક સંદેશો લોકો સુધી પહોંચાડતી હોય તે ધર્મ વિરુદ્ધ ગણી શકાય નહી.

પ્રાચીન હિંદુ મનીષીઓ પાસે ઉત્ક્રાંતિની સમજ હતી. એમણે પ્રતીક રૂપે જે અવતારોની કલ્પના કરી છે તેમાં ઇવલૂશનની સમજ ભારોભાર દેખાય છે. સમુદ્રમાં જીવન શરૂ થયું છે માટે પાલનહાર પ્રતીક વિષ્ણું સમુદ્રમાં વિરાજમાન છે. પ્રથમ ભગવાન માછલી હતા તેવું ઉત્ક્રાંતિની સમજ વગર ના કહી શકો. પહેલો વ્યવસ્થિત સજીવ માછલી છે માટે મત્સ્યાવતાર છે. બીજો વ્યવસ્થિત સજીવ કાચબો લાગ્યો તો કૂર્માવતાર ગણ્યો. ડાયનોસોર જોયા નહી કારણ કરોડો વર્ષો પહેલાં નાશ પામી ગયાં હતાં બાકી એનો પણ કોઈ અવતાર જરૂર હોત. પછી સસ્તન પ્રાણી વરાહ આવ્યું, અર્ધપશું અર્ધ માનવી નૃસિંહ અવતાર થયો. એ ભારતીય બુદ્ધિશાળી મહાપુરુષોના બ્રેનમાં સિમૅન્ટિક(Semantic memory) અને પ્રોસિજરલ(Procedural memory) મેમરી કાયમ હતી માટે આવી અવતારોની કલ્પના કરનાર ભારતીય ડાર્વિનદાદા ને નમસ્કાર.

આપણને જે ઉંમરે ચડ્ડી પહેરતાં નહોતી આવડતી તે ઉંમરે આપણા પૌત્ર-પૌત્રી આઇફોન રમે છે અને કમ્પ્યૂટર ફેરવે છે તેમાં ઉત્ક્રાંતિ કેમ દેખાતી નથી ? સેન્ટિમીટર કે મિલીમિટરના હજારમાં ભાગ જેટલા ગણો, આ કમ્પ્યૂટર સાથે રમતાં બાળકોનાં બ્રેન આપણાં કરતાં જરૂર મોટા હશે.

ઉત્ક્રાંતિનો લાખો વર્ષનો અત્યંત ધીમો પ્રોસિજર આપણી ૬૦-૭૦ વર્ષની જીંદગીમાં જોવાની આશા રાખવી મૂર્ખામી છે અને તે જોવા ના મળે તો એને ખોટી કહેશો તો ઉત્ક્રાંતિ ક્યાં બંધ થઈ જવાની છે ?

સંસદ ભવનમાં આપણા આદરણીય પ્રતિનિધિઓ જે વ્યવહાર કરે છે તે જોઈને નથી લાગતું કે ખરેખર આપણે વાનરના વંશજ છિયે ? હાહાહાહાહાહા ! !

રાત્રિનું અંતિમ કાર્ય (ધ્યાન)

100445824_288ebe0950[1] રાત્રિનું અંતિમ કાર્ય (ધ્યાન)

 એકવાર પાર્વતીએ શંકરને જગતના રહસ્ય વિશે સામટાં ચારપાંચ સવાલો પૂછી નાખ્યાં. શિવજીએ કોઈ પણ જાતની ફિલૉસફી ઝાડ્યા વગર શરૂ કર્યું કે અંદર જતા શ્વાસ પછી અને બહાર આવતાં શ્વાસ પહેલાં જે પૉઇન્ટ આવે ત્યાં સ્થિત થઈ જાવ, અથવા બે શ્વાસ વચ્ચે સ્થિત થઈ જાવ, આ તો મારી ભાષામાં કહું છું, બાકી શંકરે તો સંસ્કૃત કે પ્રાચીન સંસ્કૃતમાં કહ્યું હશે. આમ એક પછી એક રસ્તા બતાવતા જ ગયા, નો ફિલૉસફી. આવી કહેવાય છે ૧૦૮ વિધિઓ બતાવી.

અમદાવાદથી વડોદરા જવું છે તો પહેલાં અમદાવાદની બહાર તો નીકળો ? પછી નારોલ ચોકડીથી સાઉથમાં જવા માંડો. પાલડી ચારરસ્તા થી વી.એસ. હૉસ્પિટલ જવું છે ? તો તમારી સુંદર મુખમુદ્રા કંઈ દિશામાં રાખી ઊભા છો તે કહો પહેલાં. સરદાર બ્રિજ બાજુ મુખ રાખી ઊભા હોય તો ડાબી બાજુ ચાલવા માંડો અને જોધપુર ટેકરા બાજુ તમારું પવિત્ર મુખ રાખી ઊભા હોય તો જમણી બાજુ ચાલવા માંડો. આમાં ક્યાં કોઈ ગ્રીક કે ઉપનિષદની ફિલૉસફીની જરૂર છે ? ભાઈ મેં તો રસ્તો બતાવ્યો ચાલવાનું તમારે છે. ચાલવા માંડશો તો આજે નહી તો કાલે જરૂર વી.એસ. પહોંચી જવાશે પણ ઊભા ઊભા તત્ત્વજ્ઞાન ડહોળવા બેસી જઈશું તો કદી નહી પહોચાય.

પહેલી નવ વિધિઓ શ્વાસ ઉપર હતી. ભગવાન બુદ્ધે આ શ્વાસ ઉપરની વિધિઓનો ખૂબ ઉપયોગ કરેલો. અનાપાનસતિ અને વિપશ્યનાનો મુખ્ય આધાર આ વિધિઓ છે. શિવે કહેલી ધ્યાન કરવાની, મેડિટેશન કરવાની આ પદ્ધતિને કોઈ ધર્મના લેબલ મારવાની જરૂર છે નહી. આ તો શુદ્ધ બ્રેન કસરત છે. બૃફેન, કોમ્બિફ્લેમ કે વિક્સ વૅપરબ ઉપર લખેલું નથી હોતું કે આ કોઈ ક્રિસ્ચને શોધેલી દવા છે માટે કોઈ હિંદુ કે મુસલમાને ઉપયોગ કરવી નહી. હા ! એને શોધવાની મથામણ કે બનાવવાની કિંમત જરૂર વસૂલ કરવામાં આવે છે. કે સુદર્શન ચૂર્ણ ઉપર સિક્કો નથી મારેલો હોતો કે આ ચરકે શોધેલી ફૉર્મ્યુલા છે જેને કોઈ બીજા ધર્મ પાળનારે ફાકવું નહી. જ્ઞાનને ધર્મના લેબલની શું જરૂર ?

સૂફી ફકીરોનું દરવેશ નૃત્ય પણ ધ્યાન કરવાની એક પદ્ધતિ છે. તારવાળા વાદ્ય વગાડવામાં પણ મેડિટેશન છુપાયેલું છે. બૌદ્ધ સાધુઓએ માઈન્ડ્ફૂલનેસ મેડિટેશન આખી દુનિયામાં ફેલાવી દીધું છે. મૂળ આ પદ્ધતિ બતાવનારા શંકર તો ખોવાઈ ગયા બુદ્ધ ફેમસ થઈ ગયા, અરે બુદ્ધ મૂળ ભારતના હતા તેવી પણ દુનિયાના ઘણાં લોકોને ખબર નથી. જો કે શંકરને એની કશી પડી નથી કારણ શંકર માટે બુદ્ધ અને શંકરમાં કોઈ ફરક નથી. લે ! હું યે ફિલૉસફી ઠોકવા માંડ્યો ?

મૂળ વાત મારે એ કહેવી છે કે હાલ મેડિટેશન ઉપર ખૂબ સંશોધન ચાલી રહ્યું છે. ન્યુઅરૉલજિસ્ટ આની ઉપર ખૂબ સંશોધન કરી રહ્યાં છે. રોજનું ફક્ત ૧૫-૩૦ મિનિટનું ધ્યાન બહુ મોટો ફરક પાડવા સક્ષમ બની શકે છે કે તમારો જિંદગી વિશેનો આખો અપ્રોચ બદલાઈ જાય, તમારું કરુણાનું ખાબોચિયું મહાસમુદ્ર્માં પલટાઈ શકે. વસ્તુઓ કે બનાવોને અંગત રીતે મૂલવવાનો તમારો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય. પણ આ બધું કઈ રીતે બને?

ચાલો આપણાં સાઇકાયટ્રિસ્ટ અને ન્યુઅરૉલોજિસ્ટ મહાનુભવોને સાઈબાબાના ફોટા ઉપર હાર ચડાવવાનાં મહત્વનાં કામમાં મગન રહેવા દઈએ. હું મારી અલ્પમતિ સમજાવવા ટ્રાય કરૂ.

ધ્યાન કઈ રીતે બ્રેન ચેઇન્જ કરે છે તે જોવા થોડી ટેકનિકલ વાતો સમજવી પડશે. બ્રેનના થોડા વિભાગોની ઉપરછલ્લી માહિતી ચાલી જશે. આપણે ક્યાં બ્રેન સર્જરી કરવી છે?

* Lateral prefrontal cortex: બ્રેનનો આ વિભાગ વસ્તુઓ કે બનાવોને તર્કયુક્ત, રેશનલ અને બેલેન્સેડ (સંતુલિત) લેવા માટે પ્રેરતો હોય છે. આને Assessment Center પણ કહે છે. બ્રેનના ફિઅર સેન્ટર તરફથી આવતી લાગણીઓ નિયંત્રિત કરી સૌમ્ય બનાવે છે. ઑટ્મૅટિક બિહેવ્યર અને ટેવો ઉપર કાબૂ રાખવાનું કામ કરે છે. બ્રેનના Me Center નું નિયમન કરી વસ્તુ કે બનાવોને પર્સનલ લેવાનું વલણ ઓછું કરે છે.

* Medial prefrontal cortex:- આ વિભાગ તમારા અનુભવો અને યથાર્થદર્શનના સંદર્ભ સતત તમને પાછાં સૂચવવાનું કામ કરતો હોય છે. ઘણા લોકો આને બ્રેનનું “Me Center” કહેતા હોય છે કારણ તે આપણી પોતાને સંબંધિત માહિતીનું પ્રોસેસિંગ કર્યા કરતું હોય છે. ખાસ તો જ્યારે આપણે ખૂલી આંખે સપનાં જોતા હોઈએ, ભવિષ્ય માટે કોઈ યોજના બનાવીએ, સામાજિક સંબંધો વિષે વિચારીએ, કોઈ બીજાના મનમાં કોઈ બીજા વિષે શું ચાલી રહ્યું હશે તેની ધારણા બાંધીએ, ત્યારે આપણાં જુના અનુભવોની માહિતીનું મૂલ્યાંકન કરીને આપણને સંદર્ભસૂચી પુરી પાડતું હોય છે. એટલાં માટે આને Self-Referencing Center પણ કહેતાં હોય છે.

રસપ્રદ બાબત એ છે કે Medial PreFrontal Cortex (mPFC) વિભાગના પણ બે ભાગ હોય છે.

* Ventromedial medial prefrontal cortex (vmPFC) – આપણાં અને આપણી માન્યતા અનુસાર આપણાં જેવી સમકક્ષ વ્યક્તિઓ વિષેની માહિતીનું પ્રોસેસિંગ આ ભાગ કરતો હોય છે. કોઈપણ બાબતને વધુ પડતું અંગત લઈ લેવાનું વલણ અહીં રચાતું હોય છે. એટલે વૈજ્ઞાનિકો આને  unhelpful aspect of the Self-Referencing Center કહેતા હોય છે. આમ તો આ વિભાગના કામ મહત્વનાં હોય છે. પણ વધુ પડતી ઊંડી વિચારણા કરાવી આ વિભાગ અસ્વસ્થ બનાવી ખિન્નતા અને માનસિક ઉદાસીનતા વધારતો હોવાથી એને અનહેલ્પફુલ કહેવામાં આવે છે.

* Dorsomedial Prefrontal Cortex (dmPFC) – આ વિભાગ આપણી માન્યતા મુજબ આપણાં સરીખાં ના હોય તેવી વ્યક્તિઓ વિષે માહિતીનું પ્રોસેસિંગ કરતો હોય છે. આ વિભાગ ખૂબ મહત્વનો છે. આપણે માનતા હોઈએ કે આ વ્યક્તિઓ આપણાં જેવી સિમિલર નથી તેમના પ્રત્યે સહભાવ, સહાનુભૂતિ અને તાદાત્મ્યની લાગણી સાથે આ વિભાગ સામેલ થતો હોય છે, અને એવા લોકો સાથે સમાજિક જોડાણ વધારવામાં ચાવીરૂપ બનતો હોય છે.

* Insula: બ્રેનનો આ ભાગ bodily sensations મૉનિટર કરવાનું કામ કરતો હોય છે. શારીરિક સંવેદનાઓ પ્રત્યે તમે કેવો પ્રતિભાવ આપો છો તે વિશે દિશા સૂચન કરે છે. કે સંવેદના સંકટ સૂચક છે કે હિતકારક ? હિંમત ટકી રહેવાની શક્તિ અને સહજ પ્રેરણા માટે પણ આ વિભાગ સંલગ્ન હોય છે.

* Amygdala: ‘ખતરે કી ઘંટી’, સંકટ સમયે અલાર્મ વગાડવાનું કામ આ વિભાગ કરતો હોય છે. માટે આને “Fear Center” પણ કહેતા હોય છે. જોખમ સમયે “fight-or-flight” response આપવાનું મહત્વનું કામ આ વિભાગનું છે.

ધ્યાન કરતાં ના હોય ત્યારે બની શકે કે Me Center સાથે Insula અને ફિઅર સેન્ટરનું ન્યુઅરલ જોડાણ વધુ મજબૂત હોય. મતલબ તમે ચિંતાતુર બનો કે ભયની લાગણી અનુભવો કે શારીરિક સંવેદના જેવી કે ઝણઝણાટ, ખંજવાળ કે પેએન અનુભવો ત્યારે તમે ધારી લેવાના કે પ્રૉબ્લેમ તમારા સાથે કે તમારી સલામતી સાથે છે. આવું સચોટપણે લાગે કારણ મી-સેન્ટર ઢગલાબંધ માહિતીનું પ્રોસેસિંગ કરતું હોય છે. આપણે એકના એક વિચારોમાં સ્ટક થઈ જતાં હોઈએ છીએ. આપણે કોઈ ભૂલ કરી. લોકો શું વિચારશે? માથું દુખ્યું, કેમ દુખ્યું, પહેલાં પણ દુખેલું, કશું સીરિઅસ તો નહી હોય ને? એકમાંથી બીજા અને ત્રીજા એમ વિચારોનું ચક્કર ચાલતું જવાનું. બ્રેનનાં Assessment Center’s અને Me Center વચ્ચેનું નબળું કનેક્શન વ્યર્થ અતિશય ચિંતાતુર બનાવી રાખવા કારણભૂત બનતું હોય છે. જો અસેસ્મન્ટ સેન્ટર એની ઊંચી ક્ષમતા મુજબ કામ કરતું હોય તો બ્રેનના vmPFC (the part that takes things personally) વિભાગની વધારે પડતી કામગીરી સારી રીતે નિયંત્રિત કરે છે અને બ્રેનના dmPFC (the part involved in understanding other’s thoughts and feelings) વિભાગની કામગીરીમાં વધારો કરે છે. પરિણામ સ્વરૂપ મી-સેન્ટર જે ભૂલભરેલી માહિતી તરફ વધુ ધ્યાન આપતું હોય છે તે કોરે મૂકી સમતોલ રીતે વિચારવાનું વધુ બનવા લાગે છે. મતલબ ઓવર-થિંકિંગ અને એકની એક વાત વાગોળવાની ક્રિયા ઓછી થવા લાગે છે જે કરવા માટે મી-સેન્ટર વધુ પ્રખ્યાત હોય છે.

ધ્યાન કરવાનું નિયમિત શરૂ થાય એટલે ઘણી બધી હકારાત્મક બાબતો બનવા લાગતી હોય છે. પહેલું તો મી-સેન્ટરના unhelpful vmPFC વિભાગ અને bodily sensation/fear centers વચ્ચેના મજબૂત જોડાણ તૂટવા લાગે છે. એટલે શારીરિક સંવેદનાઓ અને ક્ષણિક ભય વખતે આપણી સાથે બહુ મોટો પ્રૉબ્લેમ ઊભો થઈ ગયો છે તેવું માનવાનું ઓછું થતું જતું હોય છે. જેમ જેમ મેડિટેશન કરતાં જાવ તેમ તેમ અસ્વસ્થતા(ઍંગ્ઝાયટિ) ઓછી થવા લાગે તેનું કારણ તમને અસ્વસ્થ કરી મૂકતી મી-સેન્ટરની સંવેદનાઓ સાથે જોડાયેલા ન્યુઅરલ રસ્તા ઓછા થતા જતા હોય છે. આપણે કારણ વગરની સંવેદનાઓની ઉપેક્ષા કરવાનું શીખી જતા હોઈએ છીએ. અથવા એવું પણ કહી શકાય કે ખરેખર જેના માટે સંવેદના જાગે છે તે ઓળખી શકાય છે અને એનો વધુ પડતો પ્રતિસાદ આપવાનું ઓછું થતું જાય છે. મતલબ સંવેદનાની સાચી ઓળખ છતી થાય છે.

બીજું  Assessment Center અને bodily sensation/fear centers વચ્ચે તંદુરસ્ત જોડાણ વધતું જાય છે. એટલે જ્યારે તમને કોઈ શારીરિક પીડા કે સંવેદના થાય કે કોઈ સંકટ  ઉભુ થાય ત્યારે તમે ઑટ્મૅટિકલી રિએક્ટ કરવાને બદલે તમે એને વધુ રેશનલ લેવા ટેવાતા જાવ છો. ટૂંકમાં તમે બધી રીતે સમતોલ વિચારતા થતા બનતા જાવ છો. મેડિટેશન કરતા બોનસમાં મી-સેન્ટરના હેલ્પફુલ વિભાગ (dorsomedial prefrontal cortex – the part involved in processing information related to people we perceive as being not like us ) અને bodily sensation center – involved in empathy વચ્ચે મજબૂત જોડાણ વધતું જાય છે. તમે બીજા લોકોની ઇચ્છાઓ, સપનાં અને વિચારો વધુ સમજતા થઈ જતા હોય છો. આમ ધ્યાન તમને વધુ ને વધુ કરુણાવાન બનાવતું જાય છે. ટૂંકમાં તમે તમામ લોકો પ્રત્યે દયાળુ અને કરુણાવાન બની શકતા હોય છો. હવે બુદ્ધ અને મહાવીરની માનસિકતા સમજવી વધુ સરળ લાગશે કે કેમ આ લોકો દુનિયાના તમામ લોકો પ્રત્યે કરુણા ધરવતા હતાં.

આમ ધ્યાન બ્રેનના અસેસ્મન્ટ સેન્ટરને મજબૂત બનાવે છે. મી-સેન્ટરના અનહેલ્પફુલ ભાગ જે વસ્તુઓને અંગત લેવા ટેવાએલ છે તેને નબળું બનાવે છે, મી-સેન્ટરના હેલ્પફુલ ભાગ જે સહાનુભૂતિ સાથે સંકળાએલ છે તેને મજબૂત બનાવે છે, શારીરિક સંવેદનાઓ અને ભય-ડર-દહેશત વગેરેને સાચી રીતે મૂલવવાનું શીખવે છે. “સંકટ સત્ય છે પણ એમાં ભયભીત થઈ જવું તમારી પસંદગી છે.”

ધ્યાન આપણને આપણી બાજુબાજુના તમામ લોકોને સ્વચ્છ અભિગમ વડે જોતાં શીખવે છે. ધીમે ધીમે આપણે શાંત અને શાંત થતા જતા હોઈએ છીએ..

પણ બ્રેનને જુના રસ્તે પાછાં જવાનું સરળ લાગતું હોય છે. સર્વાઇવલના જુના બનાવેલા ન્યુઅરલ રસ્તા વધુ અનુકૂળ લાગતા હોય છે. માટે ધ્યાન રોજ કરવું જોઈએ. ૧૫ મિનિટ તો ૧૫ મિનિટ પણ રોજ કરવું જોઈએ જેથી નવા ન્યુઅરલ રસ્તા એકદમ મજબૂત બની જાય, નવાં ન્યુઅરલ જોડાણ મજબૂત બની જાય. માટે બુદ્ધ રાતની સભા પૂરી કરીને આદેશ આપતા રાત્રિનું અંતિમ કાર્ય પૂરુ કરી સૂઈ જાવ. એ અંતિમ કાર્ય ધ્યાન કરવાનું રહેતું. સાધુઓ અને સમજદારો ધ્યાન કરવા જતા પણ સમાન્યજન સંભોગમાં રત થઈ જાય અને ચોર ચોરી કરવા જાય એમાં બુદ્ધનો શું વાંક ?

બાર ગાઉ એ બોલી બદલાય

images

બાર ગાઉ એ બોલી બદલાય
બાર ગાઉ એ બોલી બદલાય તે કહેવત ખાલી ભારત માટે થોડી સાચી હોય? આખી દુનિયામાં આ ટ્રેન્ડ ચાલતો હોય છે. એટલે તમે લખવામાં ભાષા શુદ્ધિ નો આગ્રહ રાખી શકો બાકી બોલવામાં કદી રાખી શકો નહીં. હું વિજાપુર(મહેસાણા), નડિયાદ(ચરોતર) અને વડોદરા ઊછરેલો છું માટે મારી બોલવાની ભાષામાં આ ત્રણે વિસ્તારની બોલીનો લહેકો આવી જવાનો તે હકીકત છે. મતલબ હું શુદ્ધ મહેસાણી, શુદ્ધ ચરોતર કે શુદ્ધ બરોડીયન ભાષા બોલતો નથી ત્રણે વિસ્તારની મસાલા ખીચડી જેવી ભાષા બોલુ છું. મારા નાનાભાઈ વળી બરોડા નથી રહેલા તેઓ જામનગર વસેલા છે તો એમની ભાષામાં મહેસાણા, ચરોતર ભેળો સૌરાષ્ટ્રનો રોટલો પણ ભળેલો છે. મારા જીજાબા એટલે બહેનશ્રી વળી સાબરકાઠાં પરણાવેલાં છે એટલે એમની ભાષામાં મહેસાણા, ચરોતર સાથે ઈડર વિસ્તારનો ફેમસ મકાઈનો રોટલો અને અડદની દાળ પણ ભળેલા છે, એમાં બહેનનું પાછું રૉયલ ફેમિલી એટલે ‘આપ પધારો’, ‘આપ બિરાજો’, ‘જી હુકમ’, ‘કાકોસા’, ‘કાકીસા’, ‘ભાભીસા’, ‘ફુવાસા’, જીજાસા’, સાથે નાના બે વરસના જ કેમ ના હોય દીકરાને બાપુ અને દીકરીને બૈજીલાલ કહેવાનો મીઠડો માનવાચક ધારો છે.

‘લૅબુ, મૅઠુ અને પૉણી આવ્યું એટલે સમજો મહેસાણા આવ્યું. ઉચ્ચારણની ભાષામાં આમ અલગ અલગ વિસ્તારમાં થોડો થોડો ફેરફાર તો રહેવાનો જ. આનો કોઈ ઉપાય નથી. એકલાં ભારતમાં જ આવું હોય તેવું પણ નથી. અમેરિકામાં પણ થોડા થોડા ફેરફાર સાથે જ અન્ગ્રેજી બોલાય છે. દરેકનો પોતાની માત્રુભાષાનો ટોન બીજી ભાષામાં આવી જવાનો તે હકીકત છે. આપણે ભલે ભારતમાં બ્રિટીશ અંગ્રેજી ભણ્યા હોઈએ પણ દક્ષિણ ભારતીય અંગ્રેજી બોલશે અને ઉત્તર ભારતીય અંગ્રેજી બોલશે એ બેઉમાં ફરક પડવાનો. ઉત્તર ભારતીય હિંદી બોલે અને આપણે ગુજરાતી હિંદી બોલીયે તેમાં પણ આભ જમીનનો ફરક પડી જતો હોય છે. હું બરોડા રહેતો ત્યારે અમારી ઉપરના માળે થોડા કેરાલીયન મિત્રો રહેતા. એકવાર આવા એક કેરાલીયન મિત્રે પુચ્છ્યું ‘કાના કાયા?’ મને સમજ પડી નહી. હું શું? શું? એમ પૂછવા લાગ્યો. બાજુમાં ઊભેલા મિત્ર અરવિંદભાઈ કહે શું બાઘાં મારે છે? ખાના ખાયા? એવું પૂછે છે.

જોડણીની દ્રષ્ટીએ જોઈએ તો આપણે હળાહળ ખોટું ગુજરાતી લખીએ છીએ, અને હળાહળ ખોટું અંગ્રેજી બોલીએ છીએ. એમાં બધાં જ આવી જાય, પત્રકારો, માસ્તરો, વ્યાખ્યાનકારો, સૌરાષ્ટ્રનો હોય કે ગુજરાતનો કે ભારતનો હોય, વળી પોતાની માત્રુભાષાનો લહેકો પણ એમાં લાવવાનાં જ. એમાં ગુગલનો ગુજરાતી લખવાનો સૉફ્ટ્વેર જે વાપરે તે જે થોડું ઘણું સાચું ગુજરાતી લખતો હોય તે પણ ભૂલી જવાનો. કારણ એમાં તમે શબ્દ આખો લખો અને સ્પેસ દબાવો આખા શબ્દનું ગુજરાતી થઈ જાય. એમાં મનફાવે તેમ જોડણી લખાઈ જવાની. એમાં ‘ઍ’ અને ‘ઑ’ આવતો નથી. એટલે તમે એના બદલે ‘એ’ અને ‘ઓ’ થી ચલવી લેવાના. મને ખબર હતી કે ‘મૅમલ’ સાચો શબ્દ છે, પણ હું ‘મેમલ’ વડે ચલાવી લેતો હતો. આવા તો અનેક શબ્દો છે જેની સાચી જોડણી વગર ચલાવી લેવું પડતું. એના માટે વિશાલ મોણપરાનું પ્રમુખ ટાઈપેડ સારુ, એમાં એક એક અક્ષરનું ગુજરાતી થવા માંડે એટલે તમે સાચું લખી શકો. પણ ગુગલનુ સહેલુ પડતું હોવાથી અને ઝડપથી લખાતું હોવાથી મોટાભાગે તે જ વપરાય છે. એટલે જેને થોડી ઘણી પણ જોડણી સાચી આવડતી હોય તેણે વિશાલભાઈનો સૉફ્ટ્વેર વાપરવો અથવા ‘બરહા’ વાપરવું સારુ રહેશે. ગુજરાતી જોડણી માટે સાર્થ જોડણીકોશ મળે છે. આ જોડણીકોશ વાંચીને એને પબ્લિશ કરનારાઓ ઉપર એક વિદ્વાન મિત્રે એમાં રહેલી ભૂલો બેત્રણ પાનાં ભરીને મોકલી, તો સામે આભાર માનતો પત્ર આવ્યો, તો એમાંથી પણ ભૂલો શોધીને મોકલવામાં આવી તો પછી પેલાં લોકોએ પત્ર લખવાનું જ બંધ કરી દીધું. હાહાહાહા!!!

ગુજરાતીના આટલાં બધાં શબ્દોની જોડણી કોને યાદ રહે? સામાન્યજનનુ તો કામ જ નહીં. એટલે એના માટે એક ઝુંબેશ શરુ થઈ કે જોડણીની પળોજણ છોડીએ એક જ ‘ઉ’ અને એક જ ‘ઈ’ વાપરીએ. આને ઊંઝા જોડણી નામ અપાયું છે. ઘણાં બધા બ્લૉગર મિત્રો ઊંઝા જોડણી વાપરે છે. એક જ ‘ઉ’ અને એક જ ‘ઈ’ વાપરો તો મોટાભાગે જોડણીની સમસ્યા મટી જાય. જો કે ઊંઝા જોડણીમાં લખેલું કોઈ સપાટ ચહેરા વાળો મતલબ મોઢાં પર કોઈ ભાવ દેખાય નહીં તેવા જૉહ્ન અબ્રાહમ જેવા ઍક્ટરની સિનેમા જોતાં હોઈએ તેવું લાગતું હોય છે. જ્યારે સાચી-ખોટી જોડણીમાં લખેલુ દિલીપકુમાર-અમિતઆભ-પરેશ રાવલ જેવા ઉત્તમ અભિનેતાની ફિલમ જોતાં હોઈએ તેવું લાગતું હોય છે. મને એવું લાગે છે, તમને શું લાગે છે મને ખબર નથી. ઊંઝા જોડણીનો સારો એવો પ્રચાર થઈ રહ્યો છે, પણ ઘણા સાહિત્યકારો એનાથી નારાજ છે. એમને લાગે છે આ ઊંઝા જોડણીવાળા ગુજરાતી ભાષાનો નાશ કરી નાખશે. ઊંઝા જોડણીવાળા કહે છે અમારી જોડણી વૈજ્ઞાનીક છે. તો સ્વરપેટી ઉપર આધારિત જોડણી કઈ રીતે અવૈજ્ઞાનિક કહેવાય?

અમેરિકાની વાત કરું તો, અહીં ઉત્તર અમેરિકાના યુ.એસ.એ નામના દેશના ઉત્તરમાં રહેલાં રાજ્યો અને ટેકસાસ જેવાં દક્ષિણમાં રહેલાં રાજ્યોની અંગ્રેજીની બોલચાલની લઢણ ખાસી જુદી પડી જાય છે. એમાં વળી અશ્વેત પ્રજાએ એની પોતાની આગવી લઢણ વિકસાવી છે. અમદાવાદમાં વાહન ચલાવો તો આખી દુનિયામાં ચલાવો પાસ થઈ જાવ તેવું અહીં કહેવાય કે અશ્વેત લોકોનું બોલેલુ અંગ્રેજી સમજી શકો તો પછી ગમે ત્યાં જાવ અંગ્રેજી સમજવામાં વાંધો આવે નહીં. યુ.એસ.એ નીચે આવેલા મેક્સિકો અને એની પણ નીચે આવેલા દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલા દેશોમાં સ્પેનિશ ભાષા બોલાય છે. આ દેશોને લૅટિન અમેરિકન દેશો અથવા સ્પેનિશ દેશો પણ કહેવાય છે.

યુરોપના સ્પેનમાંથી આ દેશો ઉપર આક્રમણ થયેલું. આ બધા દેશો ઉપર યુરોપના સ્પેનની હકૂમત ચાલવા લાગી. મેક્સિકોની માયા અને પેરુની ઈન્કા સંસ્કૃતિનો નાશ કરી નાખવામાં આવ્યો. આશરે ૧૭ હજાર વર્ષ પહેલા વાયા સાયબીરીયા થી માનવો ધીમે ધીમે આ અમેરિકા ખંડમાં અલાસ્કા થી પ્રવેશ કરવા લાગેલા.એમાં જુદી જુદી સંસ્કૃતિઓ અહીં વિકસેલી જેવી કે Mesoamerica(the Olmec, the Toltec, the Teotihuacano, the Zapotec, the Mixtec, the Aztec, and the Maya) and the Andes (Inca, Moche, Chibcha, Cañaris). આમાં માયા સંસ્કૃતિના એમના પોતાના લેખિત રિકૉર્ડ મળે છે. આ બધી સંસ્કૃતિઓ ઘણી વિકસેલી હતી. ખેતીવાડી બાંધકામ બધામાં નિષ્ણાત હતી. ઍઝટેક લોકોએ એક ભવ્ય શહેર બનાવેલું Tenochtitlan, જે પુરાણું મેક્સિકો હતું. ત્યાં લગભગ ૨૦૦,૦૦૦ લોકો રહેતા હશે. તે લોકો ખગોળીય અને ગણિતશાસ્ત્ર જ્ઞાનમાં માહેર હતા.

૧૪૯૨માં કોલંબસની સફર પછી યુરોપિયન લોકોનાં ધાડા આવવાનું અહીં ચાલુ થયું. એ લોકો ગુલામ તરીકે ખેતી કરવા માટે આફ્રિકન લોકો ને લઈને આવ્યા, અને સાથે સાથે જાત જાતનાં મૂળ અહીંના લોકો માટે નવા એવા રોગો લઈ ને આવ્યા. એમાં અહીંની સ્થાનિક પ્રજા મરવા માંડી, બંને વચ્ચે યુદ્ધો થવા લાગ્યા. રીતસરનું જેનસાઇડ શરુ થયું અને સ્થાનિક જાતિઓનો નાશ કરવાનું ચાલુ થયુ. આપણે માનીયે છિયે તેમ સ્થાનિક કહેવાતી રેડ ઈન્ડિયન્સ જાતિઓ સાવ ખતમ નથી થઈ ગઈ પણ એમનું સંકરણ થઈ ગયું છે. જો કે શુદ્ધ રુપે ખતમ થઈ ગઈ છે તેમ કહી શકાય. યુરોપીયન્સ અને સ્થાનિક જાતિઓનું ભેગું થઈ ને જે ક્રોસ બ્રીડિંગ થઈ ગયુ છે તે આજની અમેરિકન સ્પેનિશ પ્રજા કહેવાય છે.

મૂળ અમેરિકન પ્રજા ઉત્તર ધૃવમાં રહેતી પ્રજાના જીન ધરાવતી હાથ પગ ટૂંકા, ઊંચાઈ સાવ ઓછી આપણા ગુરખા જેવી. અત્યારે હું ન્યુ જર્સીના ફ્રિહોલ્ડ વિસ્તારમાં જાઉં તો કહેવાતા સ્પેનિયા જોઈ એવું લાગે કે આ તો આપણાં ગુરખાને ઊંચા કહેવડાવે તેવાં છે. ગોળમટોળ બેઠીદડીના સાવ બટકા આપણાં ગુરખા જ જોઈ લો. કલર પણ ઘંઉવર્ણ બહુ ઊજળા નહી. આ પ્રજામાં એટલી બધી વિવિધતા છે કે ના પૂછો વાત. એકદમ ગોરા ઊંચા થી માંડીને સાવ બટકા અને અશ્વેત પણ મળી આવે. ભલે ગીતામાં ક્રુષ્ણે કહ્યું હોય કે વર્ણસંકર પ્રજાનો નાશ થાય પણ ભારતમાં પણ એટલું બધું સંકરણ થયેલું છે કે ના પૂછો વાત. દક્ષિણ અમેરિકા ખંડ અને ઉત્તર અમેરિકા ખંડ વચ્ચે એક નાની પટ્ટી રૂપ જોડાણ છે જેમાં નાના દેશો આવેલા છે. આ નાની પટ્ટીમાં હોન્ડુરાસ, નિકારાગુઆ, અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, કોસ્ટારિકા, પનામા જેવા દેશો આવેલા છે. જ્યારે નીચે દક્ષિણ અમેરિકા ખંડમાં વેનેઝુએલા, ગુયાના, સુરીનામ, કોલમ્બિયા, ઇક્વાડોર, બ્રાઝીલ, બોલિવિયા, પેરુગ્વે, ઉરુગ્વે, ચીલી, આર્જેન્ટીના વગેરે સ્વતંત્ર દેશો છે. આ બધા દેશોની પ્રજા હિસ્પાનીક કહેવાય છે. વચ્ચે નાના નાના ટાપુઓ રૂપે ઘણા બધા દેશો છે જેવા ક્યુબા, ડોમોનીકન રિપબ્લિક, પોર્ટૄરીકો. આ દેશોની પ્રજા લાતીનો કહેવાય છે. બોલે છે બધાં સ્પેનિશ પણ બધાનું સ્પેનિશ અલગ અલગ છે. પણ જેમ આપણે ગુજરાતના કોઈ પણ ભાગમાં બોલાતું થોડું અલગ ગુજરાતી સમજી જઈએ છિયે તેમ આ પ્રજા પણ અલગ અલગ પ્રકારનું બોલાતું સ્પેનિશ સમજી જતી હોય છે.

ચાલો ફરી અંગ્રેજી ઉપર આવીયે તો શેક્સપિયર પહેલાં જે અંગ્રેજી વપરાતું હતું તે ઓલ્ડ અંગ્રેજી સાવ જુદું હતું, આજે કોઈને સમજાય નહી તેવું. શેક્સપિયરે નવા અંગ્રેજીના વિકાસમાં ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ક્રાન્તિ અને વિકાસની વાતો કરનારા માટે નવું અંગ્રેજી જરૂરી હતું. નવું અંગ્રેજી રિબેલિયન ભાષા હતી. એકલાં શેક્સ્પિયરે ખુદ ૨૦-૨૫૦૦૦ શબ્દો નવા પ્રયોજ્યા હશે. એટલે તો અંગ્રેજી સાહિત્યમાં એનું આટલું બધું માન છે. અંગ્રેજીમાં આજે રોજ નવા શબ્દો ઉમેરાય છે અને તે પણ દુનિયાની તમામ ભાષાઓમાંથી. સંસ્કૃતની વાત કરીયે તો વેદોનું સંસ્કૃત અલગ છે. પાણિનીનું પરફેક્ટ વ્યાકરણ સહીતનુ સંસ્કૃત અલગ પડી જાય છે. વેદ કાળના સંસ્કૃતમાં ‘ળ’ છે, પાણિનીના સંસ્કૃતમાં ‘ળ’ નથી. વળી ગુજરાતીમાં ‘ળ’ છે. પ્રાકૃત અને પાલી અશુદ્ધ સંસ્કૃત જ કહેવાય. તો આજની ભારતની ગુજરાતી સહિત અનેક ભાષાઓ અશુદ્ધ સંસ્કૃત કહી શકીયે.

આપણે હળાહળ ખોટું ગુજરાતી લખીએ છિયે અને હળાહળ ખોટું અંગ્રેજી બોલીયે છિયે. ચાલો થોડા નમૂના બતાવું.. આપણે અંગ્રેજીના of ને ઑફ કહીએ છિયે ખરેખર ઑવ છે. Dose ડોઝ ખોટું છે એને ડૉસ કહેવાય. Planning પ્લાનિંગ ખોટું છે પ્લૅનિંગ કહેવાય. Efficient એફિશિયન્ટ ખોટું છે એફિશન્ટ કહેવાય. adoption એડોપ્શન ખોટું છે અડૉપ્શન કહેવાય. Protection પ્રોટેક્શન ખોટું છે પ્રટેક્શન કહેવાય. avoid એવૉઈડ ખોટું છે અવૉઈડ કહેવાય. Violence વાયોલેન્સ ખોટું વાયલન્સ સાચું. accelerator ઍક્સિલેટર ખોટું છે એક્સલરેટર કહેવાય. ફિલૉસૉફી ખોટું ફિલૉસફી કહેવાય. Alpha આલ્ફા ખોટું છે ઍલ્ફા કહેવાય. Monogamy મૉનોગેમી ખોટું મનૉગમી કહેવાય તેવી રીતે polygamy પૉલીગેમી પણ ખોટું છે પૉલીગમી કહેવાય. release રિલીઝ પણ ખોટું રિલીસ કહેવાય. બિહેવિયર પણ ખોટું બિહેવ્યર કહેવાય. થાકી ગયો યાર…છોડો આવા તો અનેક શબ્દો છે જે આપણે ખોટા બોલીયે છિયે અને લખીએ પણ છિયે..

ગીર-ગુજરાતની શાન શતમ જીવમ પુંડરીકમ

images0-

ગીર-ગુજરાત કી શાન સિંહ મેરી જાન

સમગ્ર ગુજરાતનું ગૌરવ અરે ભારતનું કહો તો પણ ચાલે એવા એશિયાટિક સિંહને મધ્યપ્રદેશમાં વસાવવા બાબતે ગુજરાત સરકારે તો શક્ય વિરોધ સુપ્રીમ કોર્ટમાં કરી જોયો છે. એટલે ગુજરાત સરકારને ભાન્ડવી નકામું છે. ઍઝ યૂઝુઅલ આપણી માનસિકતા પ્રમાણે આ બાબતે પણ લાગણીઓમાં તણાઈ જવાના. આપણા ભારતમાં તજજ્ઞોનું કોણ સાંભળે છે? અને એમની સલાહસૂચન પણ કોણ ગણકારે છે? એવું હોત તો મચ્છુ ડેમ તૂટ્યો જ નાં હોત. અને જે ભયાનક તારાજી થઈ હતી તે થઈ નાં હોત. ડેમ બનાવવાની અને બનાવીને નામ કમાઈ લેવાની લ્હાયમાં તજજ્ઞોની સલાહની અવગણના તજજ્ઞ એવા ગુજરાત સરકારના એન્જીનીયરો જ કરી બેઠેલા.

૧૯૫૬મા ઉત્તરપ્રદેશની સરકારે ઇન્ડિયન બોર્ડ ફોર વાઈલ્ડલાઈફ આગળ એક પ્રપોઝલ મૂકી હતી. ૯૬ ચોરસ કિલોમીટરનો એરિયા ધરાવતી ચંદ્રપ્રભા વાઈલ્ડલાઈફ સૅંક્ચ્યૂઅરી નું વાતાવરણ લગભગ ગીર જેવું હોવાથી ત્યાં થોડા સિંહ ગીરમાંથી લાવીને વસાવવાની યોજના હતી. ૧૯૫૭મા ત્યાં એક નર અને બે માદા એમ એક જોડ સિંહની ત્યાં લવાયેલી પણ ખરી. થોડા વધ્યા અને ૧૯૬૫મા એકદમ નાશ થઈ ગયો. આફ્રિકન સિંહ કરતા ગીરનો સિંહ થોડો સંસ્કારી લાગે છે. હહાહાહાહા આફ્રિકન સિંહને પાંચથી સાત પત્નીઓ જોઈએ. ગીરના સિંહ થોડા શરમાળ લાગે છે આ બાબતમાં. આફ્રિકન સિંહ રાજપૂત રાજાઓ અને જમીનદારો જેવો. ઓછામાં ધરાય નહિ. ગીરનો સિંહ શ્રીમંત વાણિયા શેઠ શાહુકાર જેવો કહેવાય બે અથવા વધુમાં વધુ ત્રણ શ્રીમતી વડે ચલાવી લે. ભૂમિનો પ્રતાપ આનું નામ..

જ્યારે તમે કોઈ બ્રીડનું અચાનક નવી જગ્યાએ સ્થાનાન્તરણ કરો ત્યારે અતિશય ધ્યાન રાખવું પડે. એની સ્પેશીયલ કાળજી રાખવી પડે. કેપ્ટીવીટીમાં ઉછેરો અને જંગલમાં છુટા સર્વાઈવ થવા છોડી દો આ બે બાબતમાં ઘણો ફરક હોય છે. અમેરિકા અને યુરોપના પ્રાણી સંગ્રહાલયોમાં આવી રીતે સિંહ ઉછેરવાનો પ્રોગ્રામ ચાલી જ રહ્યો છે. આ લોકો આફ્રિકન અને એશીયાટીક બંને બ્રીડનું ક્રૉસિંગ પણ કરતા હોય છે. પણ આ બધું સલામત અને તજજ્ઞોની દેખભાળ હેઠળ થતું હોય છે. આમ અત્યારે ગીરના સિંહ ગણો કે એશિયાટિક સિંહ ગણો European Endangered Species Programme for Asiatic lions ( EEP ) પાસે ૧૦૦ સિંહ છે.

એશિયાટિક સિંહ ખાલી ગીરમાં જ રહ્યાં છે તે સિંહનું કમનસીબ છે અને આપણી માનવજાતની શરમ છે. પર્શિયન ભાષામાં ઈરાન નો અર્થ લેન્ડ ઑફ આર્યન્સ થાય છે. આમ આર્યભૂમિ કહો કે આર્યાવર્ત કહો ઈરાનમાં એશિયાટિક સિંહ હતા. પેલેસ્ટાઇન, મેસોપોટેમીયા, બલુચિસ્તાન, સીરિયા, ભારતમાં-પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ગુજરાતમાં એશિયાટિક સિંહ વસતા જ હતા. યુફ્રેટ્રીસ નદીના ઉપરવાસમાં ૧૮૭૦ સુધી આ સિંહ નોંધાયા છે. ઈરાનમાં પણ મોટા પ્રમાણમાં ફેલાયેલા આ સિંહ ધીમે ધીમે અદ્રશ્ય થઈ ગયા. ઝર્ગોશની પહાડીઓ અને શિરાઝનાં જંગલોમાં ૧૮૭૦ સુધી આ સિંહ વ્યાપક પ્રમાણમાં વસતા હતા. ૧૯૪૪મા ઈરાનમાં karun નદીના કિનારેથી એક સિંહણનું મડદું મળેલું. ૧૯૬૩મા પાંચની સંખ્યા ધરાવતા છેલ્લા સિંહ પરિવારનો નાશ કરીને ઈરાનીઓએ ખુબ જલસો કર્યો ત્યારે એમના રાષ્ટ્રીય ધ્વજ ઉપર સિંહ બિરાજમાન હતો, છે ને કરુણતા? નર સિંહ તો આગાઉથી જ મારી નંખાયો હતો અને માદા સિંહ સાથે ચાર બચ્ચા પણ હતા. ૧૯૭૯માં ઇસ્લામિક ક્રાંતિ થઈ ત્યાં સુધી ઈરાનના રાષ્ટ્રીય ધ્વજ ઉપર હાથમાં તલવાર લઈને સિંહનું ચિત્ર બિરાજમાન હતું. ભલા સિંહને વળી તલવારની જરૂર પડે ખરી?

ભારતમાં જોઈએ તો ઝારખંડ જિલ્લાના પલામાઉ એરિયામાં ૧૮૧૪ માં આ સિંહ છેલ્લે દેખાયા હતા. બરોડા, હરિયાણા અને અમદાવાદ વિસ્તારમાં ૧૮૩૦ સુધી હતા. પાકિસ્તાન સિંધનાં કોટ દાજી અને મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં ૧૮૪૦ સુધી એશિયાટિક સિંહ દેખાયા હતા. ૧૮૫૭ના બળવા વખતે બ્રિટીશરોએ ૩૦૦ સિંહ મારી નાખેલા. ગ્વાલિયર અને રેવા મધ્યપ્રદેશમાં છેલ્લો સિંહ ૧૮૭૦મા મરાયો હતો. ગુના-મધ્યપ્રદેશ, ડીસા અને પાલનપુર વિસ્તારમાં ૧૮૮૦ સુધી આ સિંહ હતા ત્યાર પછી એમનો સફાયો થઈ ગયો. સલામ કરો જૂનાગઢના નવાબને કે એમણે સખત કાયદો કર્યો અને સિંહના શિકાર ઉપર પ્રતિબંધ મૂકી દીધો બાકી આજે સમ ખાવા એક પણ એશિયાટિક સિંહ બચ્યો નાં હોત.

સિંહ વિષે બધી લોકોક્તિઓ સાચી હોતી નથી. ગીરમાં એક લોકવાયકા છે કે ગોવિંદો નામનો સિંહ એની જોડીદાર સિંહણ મરી જતા માથા પછાડી ને મરી ગયેલો. ગપ્પા મારવામાં શું કામ પાછળ રહેવું? લોકકવિઓ સિંહોને પણ છોડતા નથી.

સિંહ સિંહણની પાછળ માથા પછાડી ને મરી જાય તેવો પ્રેમી હોતો નથી. તદ્દન ખોટી વાત છે. સિંહ મરેલો શિકાર ખાતો નથી કે બીજાનો કરેલો શિકાર ખાતો નથી તે વાત પણ ખોટી છે. ખાસ તો સિંહના ટોળામાં જે સિંહણો હોય છે તેજ શિકાર કરે છે. પછી સિંહ ત્યાં આવી ને બધી સિંહણો ને ભગાડી મૂકે છે. પછી લહેરથી પેટ ભરીને વધેલું સિંહણો માટે છોડી દે છે. સિંહ ભાગ્યેજ શિકારમાં જોડાય છે. ભાઈ તૈયાર રોટી ખાવાવાળા છે. ટોળાં સિવાય એકલાં રહેતા સિંહો ને ચોક્કસ શિકાર કરવો પડે. ટોળામાંના નર બચ્ચા મોટા થતા તગડી મૂકવામાં આવે છે. ટોળાનો માલિક સિંહ ઘરડો થતા બીજો કોઈ જુવાન સિંહ એની સાથે લડી એને તગડી મૂકી ને ટોળાનો માલિક બની જાય છે. અને પહેલું કામ ટોળામાં રહેલા નાના બચ્ચાઓ ને મારી નાખવાનું કરે છે. એ બચ્ચાઓને બચાવવા એમની માં સિંહણ જીવના જોખમે સિંહનો સામનો કરે છે, પણ બળવાન અને પુષ્કળ શારીરિક બળ ધરાવતા સિંહ સામે હારી જાય છે, અને નજર સામે પોતાના બચ્ચાને મારતા જોઈ રહે છે. છે ને હૃદય દ્રાવક? કુદરતના રાજ્યમાં NO અહિંસા. પછી એજ સિંહણ ગરમીમાં આવીને પેલાં સિંહ જોડે સંસર્ગ કરીને બચ્ચા જણે છે. પોતાના છોકરાઓને મારનાર જોડે પ્રેમ? Any morality? There is no morality in ‘The world of Nature.

કેટ એટલે બિલાડીના કુલમાંના ચાર સૌથી મોટા પ્રાણીઓમાં આ સિંહ ભાયડો આવે છે. પેન્થેરા લીઓ એનું વૈજ્ઞાનિક નામ છે. ઘણા સિંહ ૨૫૦ કિલો સુધીના વજનમાં હોય છે. ૧૦,૦૦૦ વર્ષ પહેલા સિંહ આખી દુનિયામાં ફેલાયેલા હતા ને માનવ જાત પછી એમની વસ્તી બીજા પ્રાણીઓમાં સૌથી વધારે હતી. સિંહ સામાજિક પ્રાણી છે. જંગલમાં સતત લડતા હોવાનું હોવાથી સરેરાશ આયુષ્ય ૧૪ વર્ષ નું હોય છે, જ્યારે પાળેલા સિંહ મતલબ પ્રાણી બાગ માં ૨૦ વધારે વર્ષ જીવી શકે છે. હવે ખાલી આફ્રિકાના ઘાસિયા મેદાનો અને ગીરમાં જ બચ્યા છે. છેલ્લા બે દાયકામાં લગભગ ૫૦% વસ્તી ઓછી થઈ ગઈ છે. સંસ્કૃતમાં સિંહ પુંડરીકમ કહેવાય છે. સિંહનું જૂનામાં જુનું ફોસિલ ૩૫ લાખ વર્ષ પહેલાનું મળેલું છે. ટાયગર, જેગુઆર ને લેપર્ડ એ સિંહના પિત્રાઈ કહેવાય. કૉમન પૂર્વજોમાંથી ૧૯ લાખ વર્ષ પહેલા જેગુઆરને સિંહ છુટા પડેલા જ્યારે લેપર્ડ દસ લાખ ને આશરે વાઘ ૨૫૦૦૦ વર્ષ પહેલા છુટા પડેલા. મતલબ વાઘ, જેગુઆર, લેપર્ડ અને સિંહ બધાના પૂર્વજ એક જ હતા.
૧) P.l.persica, એશિયાટિક લાયન એક સમયે ઈરાન, પાકિસ્તાન, ટર્કી, બાંગ્લાદેશ બધે ફેલાયેલા હતા. હવે ગીરમાં ફક્ત ૩૦૦ થી ૪૦૦ ની વચ્ચે બચ્યા છે.
૨) P.l.leo, બાર્બેરી લાયન ઈજીપ્ત ને મોરોક્કોમાં હતા. બહુ વિશાલ દેહયષ્ટિ ધરાવતા હતા. ૧૯૨૨ માં આ શાખાનો છેલ્લો સિંહ મોરોક્કોમાં મરાયો હતો.
૩) P.l,senegalensis, વેસ્ટ આફ્રિકન લાયન સેનેગલ અને નાઈજીરિયામાં મળે છે.
૪) P.l,azandica નોર્થ ઈસ્ટ કોન્ગો લાયન કોન્ગોમાં મળે છે.
૫) P.l.nubica, મસાઈ લાયન ઈથિયોપિયા, કેન્યા, તાન્ઝાનિયા, મોઝામ્બિકમાં મળે છે.
૬) P.l. bleyenberghi, કતંગા લાયન નામિબિયા, બોત્સવાના, અંગોલા, કતંગા, ઝામ્બીયા, ઝીમ્બાબ્વેમાં મળે છે.
૭) P.l. krugeri, ટ્રાન્સવાલ લાયન ટ્રાન્સવાલ અને કૃગર નેશનલ પાર્કમાં જોવા મળે છે.
૮) P.l.,nubica Tsavo સાવો લાયન કેન્યા ને સાવો નેશનલ પાર્ક માં છે.

એક સમયે કેનેડા યુકોન વેલી થી છેક પેરુ ને શ્રીલંકામાં પણ સિંહ હતા. નર સિંહ ને માદા વાઘ એટલે વાઘણ સાથે ક્રોસ કરીને લાયઘર નામનું પ્રાણી પેદા કરેલું છે. જે ખુબ વિશાલ લગભગ ૧૦૦૦ પાઉન્ડ સુધી નું વજન ધરાવે છે. એવી રીતે સિંહણ ને વાઘ વચ્ચે ક્રોસ કરીને ટાઈગોન પણ પેદા કરેલ છે. કશું કામ ના હોય તો સિંહ ૨૦ કલાક આરામ કરે છે. ભૂખ લાગે તો જ ઉભા થવાનું. સિંહ ને લગભગ ૭ કિલો ને સિંહણ ને આશરે ૫ કિલો માંસ રોજ ખાવા જોઈએ.

આફ્રિકન સિંહ બહુ મોટો પરિવાર ધરાવતો હોય છે. એના પરિવારમાં બે થી માંડીને સાત સાત સિંહણ હોય છે અને ઘણીવાર આવા એક કરતા વધુ સિંહણ ગ્રૂપ ઉપર કાબુ ધરાવતો હોય છે, જ્યારે ગીરનો સિંહ પ્રમાણમાં નાનો પરિવાર ધરાવતો હોય છે. મોટાભાગે બે જ સિંહણ અને એના બચ્ચાં એના પરિવારમાં હોય છે. સિંહ મોટાભાગે બહુ મોટા શિકાર શોધતો હોય છે. ૨૦૦ થી ૫૦૦ કિલો વજનના મોટા પ્રાણીઓ ઉપર હાથ અજમાવવો એના માટે રમતવાત છે. ગીરના સિંહ મોટાભાગે ૫૦ કિલોના ચિતલ ઉપર વધારે હાથ સાફ કરતા હોય છે. આફ્રિકન સિંહ કરતા કદ કાઠીમાં ગીર સિંહ થોડો નાનો હોય છે.

ગીરના માલધારી જીવન સાથે સિંહ વણાઈ ગયેલો છે. શુદ્ધ શાકાહારી આ પ્રજાને સિંહ માટે માન છે. આ પ્રજા સિંહનો નાશ કરે તેવી જરાય નથી. જે નાશ થયો છે તે બ્રીટીશરોએ એમના શોખ માટે કર્યો છે અને તેમના વાદે ચડેલા રાજામહારાજાઓએ કર્યો છે. મધ્યપ્રદેશની બદમાશ ટોળીઓ છેક ગીર આવીને સિંહ મારી જતી હોય એમને તો મધ્યપ્રદેશમાં વસાવેલા સિંહ ઘરઆંગણે મારવા મળી જવાના. ગીરમાં સિંહની વસ્તી વધી છે માટે એમને બીજે વસાવવા પડે છે? તમારી માનવ વસ્તી વધે છે તેનું શું? સિંહ પહેલા ૧૦૦ જ હતા હવે વધી ગયા છે તેવી દલીલ થાય છે. અલ્યા ભાઈ તમે બધા મારી નાખ્યા તો ૧૦૦ વધેલા બાકી તો બહુ હતા. બહુ બધા હતા તે લોકો ભૂલી જાય છે. બરોડા, અમદાવાદ, પાલનપુર અને ડીસા વિસ્તારમાં પણ સિંહ હતા. હું માનું છું બનાસકાંઠામાં સિંહ ફરી વસાવવા જોઈએ. ત્યાં ગીર જેવા શાકાહારી માલધારીઓ જ વસે છે. ત્યાં વાતાવરણ પણ ગીર જેવું લગભગ છે. સિંહ એની મેળે જગ્યા શોધી નવા નવા વિસ્તારમાં ધીમે ધીમે અનુકૂલન સાધતા વધતા જાય અને ફેલાતા જાય તે વધુ બહેતર છે, પણ આપણે વધારેલી બેહદ વસ્તી અને સિમેન્ટના જંગલ એમાં અવરોધક બનવાના. માટે પ્રેક્ટીકલી તે શક્ય નથી તો સિંહનું સ્થાનાંતરણ કરવું પડે છે તે મજબૂરી સમજી તે માટે અતિશય કાળજી રાખવી પડે અને તે નૈતિક રીતે રખાય તો જ પ્રયોગ સફળ થાય. બનાસકાંઠા અને કચ્છ જેવાં વિસ્તારમાં સિંહને વસાવવામાં ગુજરાત સરકારને શું વાંધો આવે? આશરે પાંચેક હજાર વર્ષથી સિંહ ભારતમાં વસવા આવેલા છે તેવું કહેવાય છે તો અત્યાર સુધી કોઈ ચેપી રોગ નહોતાં નડતા અને હવે નડે છે? HIV જેવો FIV રોગ ડોમેસ્ટિક કેટને થતો હોય છે. તેવો રોગ વાઈલ્ડ કેટ વાઘ સિંહ જેવાને થાય તો આ જાતિઓ તો નષ્ટ જ થઈ જાય. એવો ભય એક બાયોલોજીસ્ટ ને ઉપજ્યો. એણે આખી દુનિયામાંથી વાઈલ્ડ કેટ પ્રાણીઓના જિન્સ એકઠાં કર્યા અને રિસર્ચમાં એવું આવ્યું કે વાઈલ્ડ કેટ શ્રેણીના પ્રાણીઓ આ ભયાનક FIV રોગ સામે પ્રતિકાર શક્તિ તો હજારો વર્ષોથી કેળવી ચુક્યા છે. આ રોગ ખાલી ઘરેલું પાળેલી બિલાડીઓ ને જ થાય છે.

નિષ્ણાતો સલાહ આપે કે હવે સિંહ બીજે વસાવવા જોઈએ તે સાચી વાત છે. પણ આપણે નિષ્ણાંતોની એક સલાહ માનીએ છીએ પણ આ લોકોએ આપેલી બીજી કાળજી રાખવાની સલાહો ભૂલી જઈએ છીએ. તજજ્ઞોએ મચ્છુ ડેમ બંધાવાની સલાહ આપી તે માની લીધી પણ ડેમ બાંધવામાં જે જે તકેદારીઓ રાખવાની હતી તેના વિષે તજજ્ઞોએ કરેલા સૂચનો ફગાવી દીધા હતા. પછી કહીએ કે તજજ્ઞોએ તો કહેલું બંધ બાંધવાનું એમાં તૂટી જાય તો અમે શું કરીએ? અહીં પણ આવું જ થવાનું છે. તજજ્ઞો સલાહ બધી બાજુની આપીને છૂટી જવાના, સુપ્રીમ કોર્ટ ચુકાદો આપીને છૂટી જવાની, ગુજરાત સરકાર કચવાતા મને ચુકાદો માથે ચડાવીને છૂટી જવાની પણ નૈતિકતામાં નહિ માનનારા લોકો આ પ્રયોગ પહેલાની જેમ ફરીવાર નિષ્ફળ બનાવીને જ જંપશે. ત્યારે નૈતિકતાનાં અતિશય બણગાં ફૂંકનાર લોકો અસહાય બનીને જોયા કરશે પણ એમાં મરો તો બિચારાં એશિયાટિક સિંહનો જ થવાનો છે. સારું છે કે ગીરમાં છે એટલાં બધા સિંહ કુનો-મધ્યપ્રદેશ નથી મોકલવાના. imagesCAFIG65R

સમજમાં નાં આવે આ સ્નેહબંધન Hard Truths About Human Nature.

સમજમાં ના આવે આ સ્નેહબંધન

યત્રનાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:|
યત્ર એતાસ્તુ ન પૂજ્યન્તે તત્ર સર્વા અફલા ક્રિયા:||

કહેનારનાં દેશમાં બુધે ઢોર પાંસરું, બુધે નાર પાંસરી કે ઢોલ ગંવાર શૂદ્ર પશુ નારી સબ તાડન કે અધિકારી એવું પણ કહેવાય છે. કેમ કે આવું કહેનારા મહાપુરુષો જુદા જુદા હોય છે. જ્યારે imagesનારીની પૂજા નથી થતી ત્યાં બધી ક્રિયાઓ અફળ જાય છે તેવું કહેનારનાં દેશમાં સ્ત્રીને ચૂંથીને એની યોનિમાં જીવલેણ સળિયા પણ ભોંકાયા છે. સ્ત્રીઓ પ્રત્યે જોવાનો દરેકનો નજરિયો અલગ અલગ હોય છે. અંગત ગાઢ સંબંધોમાં સામેની જાતિના વ્યક્તિ પ્રત્યે માનસન્માન અને એને ગમાડવાની લાગણી અનેક બાબતો વડે ઘડાતી હોય છે.

હેટરોસેકસ્યુઅલ-વિજાતીય સંબંધોમાં તમારા પ્રેમીજન બાબતે તમારું વલણ કેવું છે તેનો આધાર વિજાતીય વ્યક્તિઓ પ્રત્યે તમારું વલણ કેવું છે તેના ઉપર પણ આધાર રાખે છે. દાખલા તરીકે તમે પુરુષ હોવ તો તમારી પત્ની કે પ્રેમિકા પ્રત્યે વલણ કેવું છે તેનો આધાર સમસ્ત સ્ત્રી જાતિ પ્રત્યે કેવું વલણ છે તેના ઉપર પણ આધાર રાખે તેમાં નવાઈ નહિ.

સામાન્યતઃ પુરુષોનો સ્ત્રીઓ પ્રત્યે બે પ્રકારનો દ્રષ્ટિકોણ હોય છે, “hostile” and “benevolent” sexism. હૉસ્ટાઇલ એટલે દુશ્મનાવટભર્યું અને બિનૅવલન્ટ એટલે હિતકારી મદદકર્તા. સ્ત્રીને સ્ત્રી સમજવામાં કોઈ વાંધો નથી પણ સ્ત્રીને જાતિ કે લિંગના આધારે એના પ્રત્યે કંઈક અલગ વર્તાવ કરવો કે અણછાજતું વર્તન કરવું તેને અંગ્રેજીમાં સેક્સિઝમ કહેતા હોય છે. આવું અણછાજતું વર્તન કરનારને સેક્સિસ્ટ કહેતા હોય છે. Benevolent sexism જરા વિરોધાભાસી લાગશે. હિતકારી અણછાજતું વર્તન? સ્ત્રી પુરુષના સંબંધોમાં હિતકારી વલણ હકારાત્મક બાબત બની શકે. હિતકારી હોય કે શત્રુતાવાળું અણછાજતું તો અણછાજતું જ રહેવાનું. Sexism in any form is still sexism.

હૉસ્ટાઇલ સેક્સિસ્ટ એવું માનતા હોય છે કે સ્ત્રીઓ પ્રપંચયુક્ત હોય છે, એમને સ્પેશલ કાયદા કે આરક્ષણને લીધે અમારી જૉબ છીનવાય છે, સ્ત્રીઓ વિનાશક છે. નારી નરકની ખાણ કે બુધે નાર પાંસરી કહેનારા હૉસ્ટાઇલ સેક્સિસ્ટ હોય છે. સ્ત્રીઓના મુખ નાં જોવાય કહેનારા પણ સ્ત્રીઓ પ્રત્યે ચીડ, ગુસ્સો અને રોષના બંદરે નાવ લાંગરીને બેઠેલા હૉસ્ટાઇલ સેક્સિસ્ટ મહાપુરુષો જ છે. સ્વાભાવિકપણે સ્ત્રીઓ માટે સારા પાર્ટનર પુરવાર થવું આવા લોકો માટે મુશ્કેલ છે અને ખાસ તો આવું શત્રુતાવાળું વલણ રાખનારને સ્ત્રી પહેલા તો પસંદ જ ના કરે.

બિનૅવલન્ટ સેક્સિસ્ટ પુરુષો તો તમને ઠેર ઠેર મળી જવાના. બસમાં સ્ત્રી પ્રવેશ કરે ઊભા થઈને બેસવાની જગ્યા આપનારા પુરુષો તમને જોવા મળતા જ હશે. કોઈ અશક્ત કે જેને ખરેખર જરૂર હોય, જેવી કોઈ બાળકને તેડીને ઊભેલી સ્ત્રીને જગ્યા આપે તો બરોબર છે. બિનૅવલન્ટ સેક્સિસ્ટ ભલે એક રીતે સારા લાગે પણ ખરેખર આવા પુરુષો સ્ત્રી સ્વાતંત્ર્ય માટે વધુ જોખમી હોય છે. તેઓ સ્ત્રીને નાજુક, અસહાય, કમજોર સમજતા હોય છે. તેઓ સમજતાં હોય છે કે સ્ત્રીને હમેશાં પુરુષોના રક્ષણ નીચે જીવવું જોઈએ. સ્ત્રીને કાયમ પુરુષ પ્રટેક્શનની જરૂર હોય જ છે. સ્ત્રી પુરુષના રક્ષણ અને મદદ વગર જીવી જ ના શકે. સ્ત્રીએ હમેશાં પુરુષોની આજ્ઞામાં રહેવું જોઈએ જેથી એમનું રક્ષણ થાય. એકંદરે આવા. બિનૅવલન્ટ સેક્સિસ્ટ પુરુષોની નિશ્રામાં જીવતી સ્ત્રીઓ પણ માનતી થઈ જતી હોય છે કે એમને સતત રક્ષણની જરૂર છે. આમ કોઈપણ પ્રકારનું સેક્સિઝમ સ્ત્રીની મેન્ટલ હેલ્થ, એની કામ કરવાની ક્ષમતા, સુખની લાગણીઓ વગેરે માટે હાનિકારક હોય છે.

હૉસ્ટાઇલ સેક્સિસ્ટ તો તરત પરખાઈ જતો હોય છે. Non-sexist અને બિનૅવલન્ટ સેક્સિસ્ટ વચ્ચે ભેદ પારખવો બહુ મુશ્કેલ હોય છે. દીકરીને ગાય દોરે ત્યાં જાય કહેનારો આપણો તો ઍવરિજ આખો સમાજ સ્ત્રીઓના હિત માટે એની સાથે અણછાજતું વર્તન કરનારો ( બિનૅવલન્ટ સેક્સિસ્ટ) છે. પહેલા સ્ત્રી નાની હોય ત્યારે માતાપિતા ભાઈઓના રક્ષણ હેઠળ જીવવાનું, પછી પતિના રક્ષણ હેઠળ જીવવાનું પછી ઘરડી થાય એટલે પુત્રોના રક્ષણ હેઠળ જીવવાનું.images=-==

Non-sexist બિનજરૂરી ભાવ બતાવનારો કે સ્ત્રીના કામમાં મદદના બહાને પણ બિનજરૂરી દખલ દેનારો હોય નહિ. સ્ત્રીને સ્ત્રીનું કામ કરવા દો જરૂર પડશે તો મદદ કરીશું. સ્ત્રી એના પગ ઉપર ઊભી રહેવા પૂરતી સક્ષમ અને સ્વતંત્ર છે. ઓશો કહેતા કે બાળકોના હિત માટે ફાયદા માટે ભલા માટે આપણે આપણા બાળકો ઉપર ઘણી ક્રૂરતા આચરતા હોઈએ છીએ. એવી રીતે સ્ત્રીઓના ભલા માટે મદદ માટે આપણે એમની સાથે ક્રૂરતા કરતા હોઈએ છીએ પણ એ માનવું મુશ્કેલ છે.

આ સિવાય સ્ત્રી પુરુષ વચ્ચે સ્નેહબંધનનો પ્રકાર હોય છે જેને attachmentstyle કહેતા હોય છે. સ્ત્રીપુરુષના સંબંધો બહુ કૉમ્પ્લેક્સ હોય છે. Attachment style રોમૅન્ટિક રિલેશનશીપ તરફ આગળ વધતા તમારા માતાપિતાએ તમારો ઉછેર કઈ રીતે કર્યો છે તેના પર આધાર રાખતી હોય છે. જો તમે બચપણમાં અવગણના, અનાદર સહન કર્યા હોય, પૂરતી સલામતી અનુભવી ના હોય તો મોટા થઈને તમારો પાર્ટનર તમને છોડી દેશે તેવું સતત લાગ્યા કરતું હોય છે. જો તમે તમારા માતાપિતા કે કેરગીવર પાસેથી પૂરતી સલામતી અને આદર અનુભવી ચૂક્યા હશો તો પુખ્તવયે તમારા પાર્ટનર માટે તમને ખૂબ વિશ્વાસ રહેવાનો જ છે. Attachment style-સ્નેહબંધન, અનુરાગમાં પણ secure-સલામત અને insecure-અસલામત એમ બે પ્રકાર માનવામાં આવતા હોય છે. Insecure અટૅચમંટ સ્ટાઇલમાં વળી મનોવૈજ્ઞાનિકો વધુ વિભાગ પાડતા હોય છે. Anxiously-આતુરતાપૂર્વક જોડાયેલા વળી અસ્વસ્થ કાયમ ગભરાતાં હોય છે. એમને કાયમ કોઈની જરૂર પડતી જ હોય છે. Avoidant અટૅચમંટ સ્ટાઇલ ધરાવતા લોકો વળી એમની અસલામતી અંતર રાખીને જતાવતાં હોય છે. કદી નજીક આવશે નહિ આમ એમના પાર્ટનર સાથે ઈમોશનલી નજદીકિયા રાખી શકતાં નથી.

High in hostile sexism લોકોને પ્રથમ તો સ્ત્રીને જો પસંદ કરવા દેવામાં આવે તો પસંદ કરતી જ નથી અને કદાચ રૉમૅન્સ ડિપાર્ટમેન્ટમાં યેનકેન પ્રકારે સફળ થઈ ગયા તો એમને hostile માંથી ધીમે રહીને benevolent sexist બનવા તરફ ઢળવું પડતું હોય છે. આવા લોકોને આ વિષયમાં સંશોધન કરનાર Union College social psychologist Joshua Hart પરસ્પર વિરોધી લાગણીવાળા ambivalent sexist કહે છે.

આતુરતાપૂર્વક સ્નેહબંધનમાં જોડાયેલાં ચિંતાતુર લોકો બિનૅવલન્ટ સેક્સિસ્ટ બની જતા હોય છે. જ્યારે ઉપેક્ષિત થયેલા સ્નેહબંધનમાં હૉસ્ટાઇલ સેક્સિસ્ટ બની જાય તો નવાઈ નહિ. Anxiously attached મહાપુરુષોની સ્થિતિ વળી બહુ કૉમ્પ્લિકેટેડ હોય છે. દિલોજાન દોસ્ત વગર જીવી જ નહિ શકાય તેવું માનતા હોય છે. તેમની સ્ત્રીઓને છેવટે benevolent sexism ની પગદંડી ઉપર મૂકી દેતા હોય છે. આમ સ્ત્રીઓને પરતંત્ર બનાવી દેતા હોય છે. પત્ની સાથે Anxiously attached મહાપુરુષ કહી ગયા છે કે ઢોલ, ગંવાર, શૂદ્ર, પશુ, નારી સબ તાડન કે અધિકારી…

બેસ્ટ રોમૅન્ટિક પાર્ટનર એ છે કે જે સલામતી અનુભવતો સ્નેહબંધનમાં જોડાયેલો સ્ત્રીઓ પ્રત્યે સાનુકૂળ વલણ ધરાવતો હોય હિતકારી બનવાની આડમાં સ્ત્રીની સ્વતંત્રતા ઉપર તરાપ મારે નહિ. જો કે આ બધી વાતો ભારતીય સમાજ માટે ગળે ઊતારવી અઘરી પડશે. કારણકે કહેવાતા ઉચ્ચ આદર્શો, સમાજમાં દાખલા બેસાડવાના બહાના, રાજધર્મ, પ્રજાધર્મ વગેરે વગેરે અનેક બહાને અને છેવટે સ્ત્રીઓના લાભ માટે સ્ત્રીઓ ઉપર જુલમ ગુજારવામાં કશું બાકી રાખ્યું નથી. અગ્નિપરીક્ષા લીધી તો કહે સમાજમાં દાખલો બેસાડવાનો છે. અલ્યા કયો દાખલો? શેનો દાખલો? એનો કોઈ વાંક તો બતાવો? ગર્ભવતીનો ત્યાગ તો કહે સમાજમાં દાખલો બેસાડવાનો છે. અલ્યા ભાઈ પાછો શેનો દાખલો? ધોબીએ મહેણું માર્યું હતું. તો જાવ ધોબીને એક લાફો મારો અને સમાજમાં દાખલો બેસાડો. દાખલા જ્યાં બેસાડવાના છે ત્યાં નથી બેસાડવા અને જ્યાં નથી બેસાડવાના ત્યાં બેસાડીએ છીએ

 

પ્રેમપુષ્પનું રાસાયણિક પૃથક્કરણ

images===પ્રેમપુષ્પનું રાસાયણિક પૃથક્કરણ

ચાલો પ્રેમના પુષ્પનું ડિસેક્શન કરીએ. પ્રેમ આંધળો છે કે આંધળા બન્યા વગર પ્રેમ ના થાય તેવા મહાવરા આપણે સાંભળીએ છીએ. પ્રેમ તો હ્રદયથી થાય દિમાગથી નાં થાય તેવું પણ સંભાળીએ છીએ. ખરેખર તો પ્રેમ દિમાગથી જ થાય છે. કારણ હૃદય તો માત્ર શરીરમાં લોહી ધકેલવાનો પંપ માત્ર છે. જેને આપણે પ્રેમ હ્રદયથી થાય તેવું કહીએ છીએ તે કહેવાતું હ્રદય પણ દિમાગના કેટલાક ભાગ જ છે. ગમે તે હોય પ્રેમ આ પૃથ્વી પરનું સૌથી અર્થસભર અને શક્તિમાન પરિબળ છે અને હોવું જ જોઈએ તેવું માનીને ચાલો દિમાગના દરિયામાં ડૂબકી લગાવીએ જ્યાં પ્રેમ પેદા થાય છે.

પ્રેમ અડિક્ટિવ છે, મતલબ વ્યસન જેવું છે. તમાકુ, ચા, કે કોફી પીવાની આદત પડી જાય તેવું પ્રેમનું પણ છે. ખાસ તો નવા નવા પ્રેમી પંખીડાઓ માટે પ્રેમ એક વ્યસન છે. કારણ પ્રેમ બ્રેનમાં ventral tegmentalarea (VTA) ને ઉત્તેજે છે જે dopamine નામના આનંદદાયક ન્યુરોટ્રૅનિઝ્મટરનાં ફુવારા બ્રેનમાં રહેલા રિવૉર્ડ સેન્ટરમાં છોડે છે, જે પ્રેમીઓમાં હળવી narcotic ઇફેક્ટ પેદા કરે છે. જે લોકો ભારે દુખાવામાં નર્કૉટિક પેએન કિલર ખાતા હશે તેમને ખબર હશે. આવી દવા ખાધા પછી હળવો નશો અનુભવાતો હોય છે. જે આનંદદાયક લાગતો હોય છે. અને લાંબા સમય સુધી આવી દવાનું સેવન કરવાનું મન થાય છે, તેની ટેવ પડી જાય છે. તે જ સમયે પ્રેમની અનુભૂતિ સ્ટ્રેસ હૉર્મોન norephinephrine પણ છોડે છે જે હાર્ટ રેટ અને બ્લડ-પ્રેશરમાં વધારો કરે છે જેની અસર methamphetamine જેવા અસરકારક addictive સમકક્ષ હોય છે.

પ્રેમ અબ્સેસિવ હોય છે તમારા મનનો કબજો બળજબરીથી લઈ લેતો હોય છે. જ્યારે તમારું દિમાગ મતલબ બ્રેન પ્રેમ ગ્રસિત હોય છે ત્યારે ન્યુરોટ્રૅનિઝ્મટર serotonin સ્ત્રાવમાં ઘટાડો થતો હોય છે. આ કેમિકલ તમને અચોક્કસતા અને અસ્થિરતાની મનોદશા સામે રક્ષણ આપે છે. હવે એમાં ઘટાડો થાય એટલે જ્યાં તમને ચોક્કસતા અને સ્થિરતા દેખાય ત્યાં નાના બાળકનો ઘૂઘરો રમવા બેસી જવાના. એક વ્યાખ્યા મુજબ પ્રેમ unpredictable કહેવાય છે. It’s a prime target for obsession. આપણે નથી કહેતા આનું કાઈ ઠેકાણું નહીં ગમે તે કરી નાખે. પ્રેમમાં પડેલો માણસ ગમે તે કરી નાખે. પ્રેમમાં પાગલ કે પાગલ પ્રેમી, પ્રેમાંધ કે પ્રેમ આંધળો છે જેવા શબ્દો એમાં જ ઉદ્ભવ્યા છે, જે સત્યની બિલકુલ નજીક છે.

પ્રેમ બેપરવા, અવિચારી, દુ:સાહસિક બનાવે છે. કમાન્ડ અને કંટ્રોલ કારણભૂત બ્રેનનો prefrontal cortex  વિભાગ પ્રેમમાં નીચલાં ગિઅરમાં આવી જાય છે. તે જ સમયે threat-response system એટલે જોખમ સામે ચેતવણી આપતું ચાવીરૂપ amygdala પણ નીચલાં ગિઅરમાં આવી જાય છે. બંનેની સંયુક્ત અસર હેઠળ પ્રેમમાં પડેલો માનવી ગમે તેવા જોખમ લેવા તૈયાર થઈ જતો હોય છે પેલાં તુલસીદાસની જેમ. સીધાસાદા દેખાતા માનવી પણ પ્રેમની અસરમાં મરવા મારવા પર ઊતરી જતા હોય છે.

પ્રેમ(Love) અને કામેચ્છા(Lust) બ્રેનમા સાથે રહેતા હોય છે જરૂરી નથી એક જ વ્યક્તિ તરફ બંને સાથે અનુભવાય. પ્રેમ અને કામેચ્છા બંને જુદા જુદા હોય છે પણ બ્રેનમાં એકબીજા ઉપર હાવી થઈ જતા હોય છે. એકબીજામાં ગૂંથાઈ જતા હોય છે. બંને હાઇપર બનાવતા હોય છે અને બંને અડિક્ટિવ હોય છે. બંને બ્રેનમાં એક જ વિભાગો ઉપર અસર કરતા હોય છે. એટલે શરૂમાં પ્રેમ અને કામેચ્છા એક જ વ્યક્તિ તરફ અનુભવતા હોઈએ છીએ. પણ જરૂરી નથી કે પ્રેમ અને કામેચ્છા એક જ વ્યક્તિ તરફ જાગે. એવું પણ બને કે પ્રેમ એક વ્યક્તિ તરફ અનુભવાય અને કામેચ્છા બીજી વ્યક્તિ માટે જાગે. લાંબા સહજીવનમાં ભેદ ઊઘડી આવતો હોય છે.

લાંબા સહજીવનમાં કામેચ્છા ઓછી થતી જતી હોય છે અને પ્રેમ વધતો જતો હોય છે, ત્યારે બ્રેનમા ventral pallidum વિભાગમાં સક્રિયતા વધી જતી હોય છે જે long-term pair-bonding and attachment માટે કારણભૂત ઑક્સિટોસિન અને vasopressin જેવા રસાયણો સ્ત્રાવ માટે જવાબદાર હોય છે. આમ લવ અને લસ્ટ જુદા જુદા છે પણ એકબીજામાં ગૂંથાઈ જતા હોવાથી એમાં ભેદ કરવો મુશ્કેલ થઈ પડે છે. જેના પ્રત્યે લવ અનુભવીએ તેના પ્રત્યે લસ્ટ પણ જાગે છે. અને જેના પ્રત્યે લસ્ટ જાગે તેના પ્રત્યે લવ પણ જાગતો હોય છે.

લવ માટે ઑક્સિટોસિન જેવા વિશ્વાસ જગાવતા ન્યુરોકેમિકલ્સનું પ્રભુત્વ મહત્વનું છે જ્યારે કામેચ્છા માટે ટૅસ્ટાસ્ટરોન જેવાં male ન્યુરોટ્રૅનિઝ્મટરનું પ્રભુત્વ જરૂરી છે. સ્ત્રીઓમાં પણ આ હૉર્મોન થોડા અંશે હોય જ છે. જે સ્ત્રીઓમાં ટૅસ્ટાસ્ટરોન હૉર્મોન થોડા વધુ હોય તો એમની કામેચ્છા પ્રબળ હોય છે. લવ અને લસ્ટ વચ્ચેનો ભેદ સરળતાથી જાણવો હોય તો સમજો દીકરી પ્રત્યે લવ હોય છે લસ્ટ નહિ. માતા પ્રત્યે લવ હોય છે લસ્ટ નહિ..

જો દીકરીઓને ખૂબ પ્રેમ કરશો તો બંનેમાં ઑક્સિટોસિનનું લેવલ વધશે. દીકરીઓ વણજોઈતા પ્રેમના ચક્કરમાં ફસાતી બચશે. લસ્ટ ઘણીબધી સ્ત્રીઓ કે પુરુષો પ્રત્યે અનુભવી શકો પ્રેમ અમુક સ્ત્રીઓ કે પુરુષો પ્રત્યે જ અનુભવી શકો. કોઈ બુદ્ધ મહાવીર તમામ લોકો પ્રત્યે પ્રેમ અને કરુણા અનુભવી શકતા હોય છે અને એટલે આપણે તેમણે ભગવાન કહીએ છીએ.

પ્રેમમાં પડેલા પુરુષના visual cortex માં સ્ત્રીની સરખામણીએ ઍક્ટિવિટિ ખૂબ વધી જતી હોય છે. ભાઈના ડોળા ચકળવકળ થયા કરતા હોય છે. ચક્ષુગમ્ય બળદ…

પ્રેમમાં પડેલી સ્ત્રીઓ બધું વિસ્તૃત વિગતવાર યાદ રાખતી હોય છે. પ્રેમમાં પડેલી સ્ત્રીના બ્રેનમાં રહેલું hippocampus ખૂબ ઍક્ટિવ થઈ જતું હોય છે જે મેમરી સાથે સંલગ્ન હોય છે. આમેય પુરુષ કરતા સ્ત્રીઓનું hippocampus વધારે જગ્યા રોકતું હોય છે. એટલે પહેલો પ્યાર પુરુષ જલદી ભૂલી જતો હશે સ્ત્રીઓ જલદી ભૂલતી નહીં હોય. એટલે પ્રેમમાં પડેલી સ્ત્રીઓ જેતે સમયની સ્મૃતિઓ વધુ સારી રીતે યાદ રાખતી હોય છે. ઝીણામાં ઝીણી વસ્તુ કે બનાવ પણ એમને યાદ રહેતો હોય છે.

નૈના મિલાકે, નયન થી નયન મળે તો જાણે જાદુ થઈ ગયો. ગોરી તુને પાગલ બનાયા, આંખોમે જો કાજલ લગાયા..નયના બરસે રીમઝીમ..નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે? આંખો વિષે અઢળક કવિતાઓ લખાઈ છે. અને લખાતી રહે છે. તાજાં જન્મેલા બાળકો માટે અને પ્રેમમાં પડેલા માટે Eye contact ભાવનાત્મક જોડાણ માટે મહત્વનો હોય છે. પ્રેમીઓ એકબીજાની આંખોમાં આંખો મેળવીને જોયા કરતા હોય છે. નજરથી નજર મળે અને પછી એક ભુવનમોહિની સ્મિત ફેંકાય ખલાસ પ્રેમી ઘાયલ થઈને ઢળી પડે. નજર પછી સ્મિત અને પછી અવાજનું માધુર્ય આગળ આવે. પ્રેમીઓના અવાજની ક્વૉલિટી પણ બદલાઈ જતી હોય છે.

અવિશ્વસનીયતા અને મનૉગમી ન્યુરોકેમિકલ્સ દ્વારા પ્રભાવિત થતી હોય છે. મનૉગમી અને Promiscuity વિષે વૈજ્ઞાનિકોને voles એક જાતના ઉંદર ઉપર સંશોધન કરતા ઘણી બધી મહત્વની માહિતી ઉપલબ્ધ થઈ છે. એક જાતના voles મનોગમસ હોય છે, મતલબ નર માદા જોડી બનાવીને રહે છે, એકબીજાને આખી જિંદગી વફાદાર રહેતા હોય છે. બીજા પ્રકારના voles જોડી બનાવતા નથી. પૉલીગમસ છે. હવે જિનેટિકલી બંને ૯૯ ટકા આઇડેન્ટિકલ છે. હવે વૈજ્ઞાનિકોએ પેલાં અવિશ્વસનીય પૉલીગમસ ગણાતા voles માં ઑક્સિટોસિન અને vasopressin નામના ન્યુરોકેમિકલ્સ જે વિશ્વાસવર્ધક ગણાય છે અને માનવોમાં pair-bonding માટે જવાબદાર ગણાય છે તે ઇન્જેકટ કરતા પેલાં કહેવાતા બેવફા ઉંદરો એકદમ વફાદાર બની ગયા અને જોડી બનાવીને રહેવા લાગ્યા, ટૂંકમાં મનૉગમસ બની ગયા.

Women and men can just be friends…(well, at least women think so). સ્ત્રી અને પુરુષ ફક્ત સારા મિત્રો ના બની શકે? બની શકે તેવું એટ-લીસ્ટ સ્ત્રીઓ વિચારતી હોય છે. પુરુષો મિત્રતા કરતા કૈંક વધુ ઇચ્છતા હોય છે. સ્ત્રીઓ એમના બ્રેનમાં સાદી મિત્રતા અને રોમૅન્ટિક લાગણીઓ ભેગી કર્યા વગર અલગ અલગ રાખી શકતી હોય છે. એટલે પ્રેમની દિવ્ય અનુભૂતિ સ્ત્રીઓ પામી શકતી હોય છે ત્યાં પુરુષો એને ચૂકી જતા હોય છે. પ્લેટૉનિક પ્રેમ સ્ત્રીઓ માટે શક્ય હોય છે માટે કોઈ મીરાં એના કૃષ્ણને ભજતી આખી જિંદગી એમજ વ્યતીત કરી શકતી હોય છે.

હા! તો મિત્રો પ્રેમનું પાયથાગોરસ પ્રમેય ઉકેલવાનો શક્ય પ્રયાસ કર્યો છે. ભારતીય માનસિકતા મુજબ પ્રેમ મહાન અને લસ્ટ ખરાબ છે તેવું ગણિત ગણવું જરૂરી નથી. ઉત્ક્રાંતિ માટે લવ અને લસ્ટ બંને મહત્વનાં છે. લસ્ટ વગર જેનિસ ટ્રાન્સ્ફર કરવા મુશ્કેલ અને લવ વગર ટ્રાન્સ્ફર કરેલા જિન્સ ઉછેરવા મુશ્કેલ.

images-=-=

અમેરિકન મૂડીવાદનાં વિકાસનો ફૂટેલો ફુગ્ગો

imagesCAZZGSEU

સસ્તન પ્રાણીઓ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા હોય છે. પણ સમૂહમાં એકબીજા સાથે હરીફાઈ પણ ખૂબ હોય છે. ખોરાક મેળવવો હોય કે માદા મેળવવી હોય તો ખૂબ હરીફાઈનો સામનો કરવો પડતો હોય છે. અને આ બધું મજબૂત હોય તેને અને જે તે સમૂહમાં ઊંચું સ્થાન ભોગવતો હોય તેને જલદી ઉપલબ્ધ થાય. આમ મેમલ સ્ટેટ્સ સીકિંગ બનવા ઇવોલ્વ થયેલા જ છે. મંદિરના ઓટલે ભીખ માંગતા ભિખારીને પૂછો તો એની મહેચ્છા પણ એક દિવસ અંબાણી બનવાની હોય છે. સમાજમાં ઊંચાંમાં ઊંચું સ્થાન પામવાની મહેચ્છા કોની ના હોય? અને એના માટે જે કરવું પડે તે કરવા મેમલ સદાય તૈયાર હોય છે. જોડકણા લખતાં દરેક કવિને ઉમાશંકર જોશી કે કલાપી જેવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાનું મન હોય છે. બાબા રામદેવ વૈરાગી બાવાજીને એકવાર ઝી ટીવીના લીટલ ચેમ્પ પ્રોગ્રામમાં સાંભળેલા કહેતા હતા ‘જિંદગીમે એકબાર પ્રથમ આના હૈ’ એવી ખ્વાહિશ બચપણથી જ હતી. એક સ્થાન પ્રાપ્ત થાય તો એનાથી ઊંચેની અપેક્ષા તરત થવાની. હાઈ સ્ટેટ્સ ઇચ્છવું આપણા જિન્સમાં હોય છે. એમાં રામદેવનો કોઈ વાંક જ નથી..વૈરાગીઓમાં પણ પ્રથમ આવવાની સ્પર્ધા તો ઊભી જ હોય છે. મંડલેશ્વર, મહામંડલેશ્વર, પીઠાધીશ, એમના ય આગવા રજવાડા હોય છે, વડતાલ સંસ્થાન. હું પહેલો શાહી સ્નાન કરું એમાં તો ૧૭૬૦મા કુંભ મેળામાં ૧૮૦૦૦ બાવાઓ એકબીજાને મારીને સ્વર્ગે પહોચી ગયેલા. આટલાં બાવાઓ અંગ્રેજો સામે લડ્યા અને મર્યા હોત તો આઝાદી મળી ગઈ હોત..મૂળ વાત એ છે કે આપણે સસ્તન-મેમલ પ્રાણી હાઈ સ્ટેટ્સ સીકિંગ છીએ.

બે મેમલ ભેગાં થાય એટલે કમ્પેરીજન શરુ, કોણ ઊંચું કોણ નીચું? તારી સાડી કરતા મારી વધુ સફેદ કે મોંઘી છે. એટલે સામ્યવાદ અને સમાજવાદ જેવા બધાને સરખાં એક સમાન ગણવા જેવા ઉચ્ચ આદર્શો અને અમૂર્ત વિચારણાઓનું મેમલ બ્રેઈન પ્રોસેસિંગ કરી શકતું નથી. આ બધા સુંદર સુંદર વિચારો કોર્ટેક્ષ કરતું હોય છે. તે પણ એને અન્યાય થાય એટલે કરતું હોય છે. એક મજૂરને લાગે કે હું મજૂરી કરીને કદી ઊંચો આવવાનો નથી કે મિલમાલિક જેટલાં પૈસા કમાવાનો નથી તો એને તરત સામ્યવાદ યાદ આવી જશે. રાજાશાહી ખરાબ છે એને નાબૂદ કરી નાખવી જોઈએ તેવી હાકલ કરી આંદોલનો કરનારા નેતાઓ આજે સવાયા રાજાઓ બની બેઠાં છે કે નહિ? સલીમે તો અકબર સામે ખાલી બળવો જ કરેલો, ઔરંગઝેબે ખાલી એના પિતાને કેદ કરી ને ફક્ત ભાઈઓને જ મારી નાખેલા. આપણા નેતાઓએ એમના અહંકાર પોષવા, પ્રથમ સ્થાન પામવા, ભારત અને પાકિસ્તાનની રાજગાદી પર બેસવા, શક્ય સમાધાન ના કરીને એક મહાન દસ હજાર વર્ષ જૂની સંસ્કૃતિના બે દેશમાં ભાગલા પાડી સરહદ ઉપર ૧૦ થી ૨૫ લાખ માણસોને અંદર અંદર કપાવી માર્યા હતા. આટલાં માણસો અંગ્રેજો સામે લડતા મરાયા હોત તો આ દેશ સામે આજે કોઈ આંગળી ઊંચી કરી શકવાની તાકાત ધરાવતું નાં હોત.

એટલે કેપિટાલિઝમ મેમલ બ્રેઈનને ભાવતી વસ્તુ છે. મનફાવે તેમ મુક્ત વ્યાપાર કરો, પૈસા કમાવો અને હાઈ સ્ટેટસ પ્રાપ્ત કરો..એટલે એવું તત્વજ્ઞાન ચાલે છે કે ઓછામાં ઓછી સરકારી દખલ ઉદ્યોગ વ્યાપારમાં હોવી જોઈએ. એનો મતલબ એવો પણ નથી કે સરકારના હસ્તક્ષેપ વગર જ બધું ચાલે જાય. તદ્દન અસહાય અને આર્થિક રીતે નાજુક લોકોના રક્ષણ માટે અસરકારક અને નવી પોલિસી હોવી જોઈએ. મૂડીવાદનો આત્યંતિક પ્રકાર છેલ્લા ૩૦-૪૦ વર્ષમાં આખી દુનિયામાં પ્રસરી ગયો છે, ચીન અને રશિયા પણ બાકાત નથી, અને તે ખૂબ ઊંડી મુશ્કેલી સર્જી રહ્યો છે તે વાત આપણે નકારીએ છીએ. સામ્યવાદ ફેઇલ કેમ ગયો? કારણ ૨૦૦૦ કરોડ વર્ષથી વિકસેલા મેમલ બ્રેઈન માટે અનુકૂળ નહોતો. બધાની પોજીશન સરખી હોય તો શું કામનું? ડૉક્ટર- એન્જીનીયર કરતા મજૂર વધુ કમાતો હોય તો ડૉક્ટર બનીને કામ શું છે? અને સૌ સરખાં જ હોય તો પછી મહેનત કરીને પ્રોગ્રેસ કરવો કોણે કીધું? હવે આપણા માનવીય પૂર્વજો અને પ્રાણિજ પૂર્વજોએ તો કરોડો વર્ષ લગી એકબીજા સાથે કમ્પેરીજન કરેલી જ છે. એટલે સામ્યવાદ સફળ થયો નહિ, ઊલટાનું નવાઈની વાત એ છે કે આજે સામ્યવાદી કહેવાતા ચીનમાં ૨૧૩ અબજોપતિઓ છે. રશિયામાં ૮૮ અબજોપતિઓ છે.  દબાવી રાખેલી સ્પ્રિંગ છટકી છે. ચીન કેવું સડસડાટ આર્થિક વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે? મૂડીવાદના પ્રણેતાઓ એક સિદ્ધાંતમાં માનતા હોય છે કે માનવજાત રેશનલ છે બજારની ગતિવિધિઓ (વિવેકપૂર્ણ) રેશનલ હોય છે. પણ આ સિદ્ધાંત આજે ધોવાઈ ચૂક્યો છે. ખરેખર માનવજાત અને તેનું બજાર રેશનલ હોય સમજદારીપૂર્વકનું હોય તો જ મૂડીવાદ અત્યંત સફળ થાય. પણ એવું થતું નથી. કારણ માનવ રેશનલ હોતો નથી. એક માણસ આખી જિંદગીમાં કેટલા રૂપિયા વાપરી શકે? એક સાથે કેટલાં વિમાનમાં મુસાફરી કરવાનો છે? છતાં જ્યારે અમેરિકામાં મહામંદી આવી, બળતું ઘર સંભાળવાનું ઓબામાને માથે આવ્યું તે સમયે દેશને બચાવી લેવા અહીંની જાયન્ટ કંપનીઓના સર્વેસર્વાઓ ઓબામા પાસે સરકારી સહાય લેવા ગયેલા ત્યારે આ અબજોપતિ ભિખારીઓ પોતાના વિમાનમાં ગયેલા. તમારા ઘર આગળ એક કારના ફાંફાં હોય છે અને આ ઓબામા પાસે ભીખ માંગવા ગયેલા અમુક કહેવાતાં લુચ્ચા ભિખારીઓના ઘર આગળ પ્રાઇવેટ પાંચ પાંચ પ્લેન પડેલા હતા. એવરેજ માનવ રેશનલ હોતો નથી.

મૂડીવાદની આત્યંતિક સ્વતંત્રતા રેશનલ બ્રેઈન વગર પચે નહિ. માટે મૂડીવાદનો પાયાનો સિદ્ધાંત છે Human beings are rational and markets behave rationally. મૂડીવાદ તમને કમાવાની છૂટ આપે છે તર્ક અને બુદ્ધિ સાથે. હું લખતો હોઉં છું કે માનવ પોલીગમસ છે. એમાં એક માણસ ચાર સ્ત્રીઓ રાખે મતલબ સમાજમાં રહેલા ત્રણ પુરુષો સ્ત્રી વગરના રહેવાના સ્વાભાવિક છે. એમ એક ધીરુભાઈ ૯૦,૦૦૦ કરોડ ભેગાં કરીને મરી જાય તો એનો મતલબ બાકીના ૮૯૦૦૦ લોકો પાસે એક એક કરોડ હોવાની સંભાવના હતી તે શૂન્ય થઈ ગઈ.. ત્રણે સીઝન પિયતની મતલબ પાણીની કે સિંચાઈની પૂરતી સગવડ હોય તો એક સીમિત કુટુંબને આરામથી જીવવા માટે ૨૫-૩૦ વીઘા જમીન પૂરતી છે. પણ હું ૧૦૦ વીઘા ભેગી કરીને બેસી જાઉં તો બીજા ત્રણ ખેતી પર નભતા ફેમિલી માટે જીવવાનું સમાપ્ત થઈ જાય કે નહિ? આ તો સાદા દાખલા આપું છું.

માંગ અને પુરવઠા પ્રમાણે કિંમત અંકાય તો બરોબર છે. પણ પુરવઠા અને સેવાઓની હોય તેના કરતા ઓછી કિંમત આંકીને તે પૂરી પાડી કંપનીઓ અને ઈકોનોમી સમૃદ્ધ થવા લાગે તો એક દિવસ વિકાસનો ફુગ્ગો ફૂટી જવાનો. કારણ આ પૃથ્વી ઉપર રીસોર્સીસ લિમિટેડ છે, અસીમ નથી.. દરેકને પોતાનું ઘર હોય તેવું અમેરિકન ડ્રીમ અમુક દાયકા પહેલા શરુ થયેલું. બેંકો કશું પૂછે નહિ. બેપાંચ હજાર ડોલર્સ ડાઉનપેમેન્ટ ભરો તો પણ બેંકો બેત્રણ લાખ ડોલર્સની લોન આપી દે. આવકના ઠેકાણા હોય નહિ. હપ્તા ક્યાંથી ભરાશે તેની કોઈ તપાસ કરે નહિ. ધીમે ધીમે ગોટાળા બહાર આવવા લાગ્યા. અમેરિકન ડ્રીમ બેંકો માટે કાળ બની ગયું. મારું એકાઉન્ટ છે તે વકોવિયા બેંક નાદાર થઈ ગઈ કેમકે તેણે એક હાઉસિંગ ફાઇનાન્સ કંપનીને ટેકઓવર કરેલી. ટેકઓવર મોંઘું પડી ગયું પોતેજ વેલ્સ ફારગો બેંક પાસે વેચાઈ ગઈ. ન્યુ જર્સીમાં લાખ ડોલર્સના ઘરના ત્રણચાર લાખ ભાવ બોલતા હતા. આજે for sale લખેલા પાટિયા લાખો અમેરિકન ઘર આગળ લાગી ગયા છે. પ્રૉબ્લેમ એ છે કે મૂળ લાખનું ઘર ચાર લાખમાં લીધું હોય તેને પાછું લાખમાં કઈ રીતે વેચવું? અને બેંક પણ ચાર લાખ લોન આપી ચૂકી હોય તે પણ ક્યાં જાય? અમેરિકન વિકાસના સાપે છછુંદર ગળી લીધો છે. ઓબામા આવ્યા તેમણે લિમિટેડ સમય માટે યોજના શરુ કરેલી કે જે પહેલીવાર ઘર ખરીદે તેનો પાકો દસ્તાવેજ થઈ જાય એટલે ઓબામા સરકાર ૮૦૦૦ ડોલર્સ ટૅક્સમાં રાહત રૂપે પાછાં આપે. છતાં કોઈ ખાસ ફરક પડ્યો નહિ. આઠ હજાર ડોલર્સ લેવા પહેલા બેચાર લાખનું ઘર ખરીદવું પડે અને તેને માટે લોન લેવા ૨૦ ટકા ડાઉનપેમેન્ટ ભરવું પડે તે ક્યાંથી લાવવું? સબસિડી ભલે લોકોને સારી લાગે પણ લાંબાગાળે દેશની ઈકોનોમી માટે ઘાતક છે. દરેક યુગ તેમના સમયમાં એક દંતકથા લઈને જીવતા હોય છે, આજનો યુગ આર્થિક વિકાસનું મિથ ગળે વળગાડીને જીવતો છે. સાચો વિકાસ તો દૂર પણ વિકાસની ફક્ત વાત કરો તો પ્રજા તમને ખભે ઉપાડીને ફરવા લાગે.

છેલ્લા ૫૦ વર્ષોમાં ગ્લોબલ ઈકોનોમી પાંચ ગણી વધી ચૂકી છે, અને હાલનો વિકાસનો રેટ જાળવી રાખશે તો ૨૧૦૦ ની સાલ સુધીમાં ૮૦ ગણી વધશે. વૈશ્વિક અર્થકારણ જે એક્સ્ટ્રા ઓર્ડીનરી હરણફાળ ભરી રહ્યું છે તેવું ઇતિહાસમાં કદી બન્યું નથી, જે ગંભીર બાબત ગણાય કેમકે આપણી પૃથ્વી પરની ઇકોલોજી સાવ નાજુક છે કે જેના ઉપર આપણું સર્વાઈવલ આધાર રાખે છે. કદાચ ભવિષ્યની પેઢી માટે આપણે પૃથ્વી પર કશું જીવવા માટે બચવા નહિ દઈએ.

પશ્ચિમનો મૂડીવાદ એના વિકાસની સ્થિરતા પર વિશ્વાસ ધરાવતો હતો. ધીમી મક્કમ ગતિનો વિકાસ. પણ વિકાસ જ્યારે અસ્થિરતા જતાવે ત્યારે રાજકર્તાઓ હેબતાઈ જતા હોય છે, ગભરાઈ જતા હોય છે. ધંધોવેપાર બચવા માટે ફાંફે ચડી જતો હોય છે, લોકો નોકરીઓ ગુમાવે છે, અનેક લોકો એમના ઘર સુધ્ધા ગુમાવે છે. લોકો પાગલ બની જતા હોય છે, બહુધા અવ્યવહારુ એવા આદર્શવાદી બની જતા હોય છે અને ક્રાંતિ લાવવાની વાતો કરવા લગતા હોય છે. પણ આ આર્થિક ઉત્પાત તમને નવી દિશામાં શોચવા મજબૂર કરે છે.

અત્યારે દુનિયા પર global corporate capitalism ચાલી રહ્યું છે. નેતાઓ રાજકર્તાઓ ખાલી કાયદો વ્યવસ્થા સંભાળે છે, ખરું રાજ તો ઉદ્યોગપતિઓ કરતા હોય છે. Bob Burnett કહે છે The modern world is ruled by multinational corporations and governed by a capitalistic ideology that believes: Corporations are a special breed of people, motivated solely by self-interest. Corporations seek to maximize return on capital by leveraging productivity and paying the least possible amount for taxes and labor. આ લોકો અત્યંત લોભિયા છે. એમનો મુખ્ય સિદ્ધાંત કોઈ પણ ભોગે નફો કરવાનો જ હોય છે. પહેલા એક ઉદ્યોગગૃહને વિકસતા દાયકાઓ અને પેઢીઓ વીતી જતી. હમણાં સ્વૈચ્છિક રિટાયર થનારા રતન તાતા જમશેદજીની પાંચમી પેઢીના છે. એક માસ્તરનો દીકરો અને સાંજે નાતમાં જમણવાર હોય તો સવારે ભૂખ્યા રહેવાના આદેશ અપાઈ જાય તેવા ફૅમિલીનાં ધીરુભાઈ અંબાણી ફક્ત એમની એક જ પેઢીમાં જ્યારે મૃત્યુ પામે ત્યારે ૯૦,૦૦૦ કરોડનું સામ્રાજ્ય મૂકતા જાય મતલબ સમથીંગ રોંગ, દાલમે કુછ કાલા હૈ, કે પછી આખી દાળ જ કાળી છે.

૧) ગ્લોબલ કૉર્પોરેશન અતિશય મોટા હોય છે જેનો સરખો વહીવટ કરવો મુશ્કેલ પડી જાય. જેમ કે આખી દુનિયા પર રાજ કરનારું બ્રિટન બધે સરખો વહીવટ કરી શક્યું નહિ એના ભારથી જ તૂટી પડ્યું. ૨) ગ્લોબલ કૉર્પોરેશન સામાન્ય સમાજને ઘૃણાથી જોતા હોય છે. એમનો મુખ્ય હેતુ ભયંક સ્વાર્થનો હોય છે જે તેમને સામાન્યજનજીવન થી દૂર રાખે છે. ૩) ગ્લોબલ કૉર્પોરેશન સુપર વેલ્ધી લોકો ચલાવતા હોય છે તેઓ કાયદા કાનૂનને ગણકારતા નથી. તેઓ ઇકોનૉમીને મનફાવે તેમ મરોડી નાખતા હોય છે. ૪) ગ્લોબલ કૉર્પોરેશન કુદરતી રીસોર્સીસને લગભગ ખાલી કરી નાખતા હોય છે એનો વિનાશ કરી નાખતા હોય છે. ૫) ગ્લોબલ કૉર્પોરેશન મીડિયા પર સખત કાબુ ધરાવતા હોય છે. લોકો રૂપિયાવાળા થઈ જવાના છે તેવું ખોટું ચિત્ર ઉપસાવતા હોય છે. ખરેખર મધ્યમવર્ગની હાડમારીઓ વધતી જતી હોય છે અને ગરીબી વધુને વધુ ફેલાતી જતી હોય છે. તો પછી કરવું શું? નાનું કુટુંબ સુખી કુટુંબ સૂત્ર અહીં પણ અપનાવવું પડે. small is beautiful.. સ્થાનિક લોકો સ્થાનિક કુદરતી સંપદા ઉપયોગ કરી ધનસંપત્તિ પેદા કરે. વર્કરોને વહીવટમાં નફાનુકશાનમાં સામેલ કરવા જોઈએ. પર્યાવરણને પણ ધ્યાનમાં લેવું પડે. ગ્લોબલ કૉર્પોરેશન પર સરકારની આંખ સતત ફરતી રહેવી જોઈએ. ગવર્નમેન્ટ કંટ્રોલ જોઈએ. પણ મૂળ લોચો અહીં વાગે છે કે સરકાર ચલાવનારા ખુદ ભ્રષ્ટ હોય છે તેઓ આવા ઉદ્યોગપતિઓ પાસે વેચાઈ જતા હોય છે. જેમ કે જે તે સમયના નાણાપ્રધાન વી.પી. સિંહ અંબાણીનાં ઉદ્યોગગૃહ પાછળ પડી ગયેલા. પણ કહેવાય છે ઉચ્ચ રાજકર્તાને ધીરુભાઈએ ખરીદી લીધા અને વી.પી.સિંહને જ ભગાડી મુકાયા.

પહેલા આવા મોટા ઉદ્યોગગૃહો નહોતા ત્યારે રાજાઓ હતા. તમામ જમીન વગેરે રાજાઓનું હતું. રાજાઓ અને વેપારીઓ ત્યારે કેપિટાલિઝમ ચલાવતા હતા. રાજાઓ સર્વેસર્વા હતા. પણ એમને બકાલું કરવાનો સમય હોય નહિ. વેપાર ધંધો વાણિયા કે વેપારીવર્ગ કરતો. તે સમયે રાજાઓ અને વેપારીઓ વચ્ચે સામાન્ય પ્રજા સેન્ડવીચ બનતી, એનો મરો થતો. રાજાને વહીવટ ચલાવવા પૈસા ખૂટે તો નગરના તમામ શ્રેષ્ઠીઓને બોલાવી પૈસા લઈ લેતા. જો કોઈ આનાકાની કરે તો લાલ આંખ બતાવતા..મોરબીના સર વાઘજી તે માટે ફેમસ હતા. નગરશેઠ કોઈવાર ખોટો ખોટો ઉપકાર જતાવી રાજાને પૈસા ધરી દેતા. ખબર કે છેવટે રાજા ધમકાવીને પણ પૈસા તો પડાવી જ લેશે. કોઈ જગડુશાહ કે ભામાશા જેવા નીતિવાન વણિકો સ્વેચ્છાએ પોતાના પૈસા પ્રજા પાછળ વાપરતા..મહમદ બેગડાના રાજમાં દુકાળ પડ્યો. એણે વેપારીઓને તાકીદ કરીકે અનાજનાં સંગ્રહ કરેલા ભંડાર છુટા મૂકો પ્રજા ભૂખે મરે છે. પણ વેપારીઓ માન્યા નહિ. બેગડાને ખબર પડી કે આ વેપારીઓ માનતા નથી. એણે લશ્કર મોકલી બેચાર વેપારીઓને પકડી મંગાવ્યા અને જાહેરમાં શુળીએ ચડાવી દીધા. બીજા દિવસથી અનાજ છૂટું થઈ ગયું. ટૂંકમાં ત્યારે રાજાઓ અને વેપારીઓ મૂડીવાદ ચલાવતા હતા. તે પણ એક જાતનો ઍક્સ્ટ્રીમ મૂડીવાદ જ હતો. દુનિયાભરના લોકો એનાથી ત્રાસી ગયા અને રાજાશાહી ખતમ થઈ ગઈ. હવે નવા બની બેઠેલા રાજાઓ જે નેતાના નામે ઓળખાય છે તે અને ઉદ્યોગપતિઓ કેપિટાલિઝમ ચલાવે છે. એમાં સામાન્યજન સેન્ડવિચની જેમ પીસાય છે. નેતાઓ ઉદ્યોગગૃહો પાસેથી યેનકેન પ્રકારે ફંડ ઉઘરાવે છે. નેતાઓ અને ઉદ્યોગપતિઓની મિલીભગતથી પ્રજા પરેશાન થવાની જ છે. એટલે વચમાં સામ્યવાદ આવ્યો પણ સફળ થયો નહિ.

મુક્ત વેપારથી શું ફરક પડ્યો? પહેલા તાતા, બિરલા અને બજાજ જેવા થોડા ઉદ્યોગપતિઓ રાજ કરતા હતા, એના બદલે એમાં થોડા નવા ઉમેરાયા બીજું શું? ઊલટાંની હવે એમાં વિદેશી કંપનીઓ ઉમેરાશે સરવાળે મરો તો સામાન્ય પ્રજાનો જ છે. પહેલા ઘરના લોકો લૂંટતા હતા હવે વિદેશીઓ પણ લૂંટમાં ઉમેરાશે. મુક્ત વેપાર પણ થવો જોઈએ અને હરીફાઈ પણ વધવી જોઈએ જેથી પ્રજાને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી વસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત થાય પણ આ બધું સરકારી નિયંત્રણ હેઠળ થવું જોઈએ અને સરકારમાં પ્રમાણિક પ્રજાનું હિત ઇચ્છતા હોય તેવા નેતાઓની હાજરી હોવી જોઈએ. કુદરતી સંપદાને ક્ષતિ પહોચાડ્યા વગર એનો પ્રમાણિક અને જરૂર પૂરતો ઉપયોગ કરીને વિકાસ થવો જોઈએ. ખેતી લાયક જમીનમાં મોટા મોટા ઉદ્યોગો સ્થાપી દેવાથી કોઈ વિકાસ થઈ જતો નથી. ખેતી માટે જમીન જ નહિ બચે તો પ્રજા શું સી.એન.જી ગેસ ખાઈને જીવવાની છે? કે નિરમાનો ડીટરજન્ટ ખાઈને જીવવાની છે?

આઝાદી પછી રાજાઓ અને જમીનદારોને પૂરતું વળતર કે કિંમત ચૂકવીને એમની મિલકતો કબજે લેવાનો કાયદો હતો. સરદાર પટેલ અને મુનશી તે બાબતે સજાગ હતા. એમને રાજાઓ અને જમીનદારોની કદર હતી. પણ પછીના નેતાઓને આ ગમતું નહોતું. એમને બધું સાવ મફતમાં પડાવી લેવું હતું માટે કાયદામાં સુધારા કરી નાખ્યા. સરકાર ઇચ્છે તો પાણીના મુલે બધું પડાવી લે. એ સુધારા આજે ખેડૂતોને નડી રહ્યા છે. સરકાર ખેડૂતો પાસેથી મફતના ભાવે જમીનો એક્વાયર કરીને ઉદ્યોગપતિઓને આપતી હોય છે. સ્વાર્થી ઉદ્યોગપતિઓ અને લાંચિયા ભ્રષ્ટ નેતાઓ આગળ ખેડૂતો શું કરી લેવાના હતા? શહેરી મધ્યમવર્ગને વિકાસની વાતો કરી આંજી નાખ્યા પછી નેતાઓનું કામ સરળ થઈ જતું હોય છે. ખરું ભારત ગામડાઓમાં વસેલું છે. ખાલી ઉદ્યોગપતિઓ કે ઉધોગોનાં વિકાસને વિકાસ ના કહેવાય. વિકાસ સમગ્રતયા હોવો જોઈએ. વિકાસની ગાડી જાપાનની બુલેટ ટ્રેનની ગતિએ દોડતી ના હોવી જોઈએ. વિકાસ સ્થિર, ધીમો અને મક્કમ ગતિએ આગળ વધતો હોવો જોઈએ. મોટા મોટા ઉદ્યોગગૃહોને બદલે નાના નાના એકમોને વિકાસની તક મળવી જોઈએ. ભારતની ૭૫ ટકા ધનસંપત્તિ ગણ્યાગાંઠ્યા આશરે સોએક ફેમિલી પાસે હશે અને ૭૫ ટકા વસ્તી રોજના ૨૦ રૂપિયા કમાવા માટે ફાંફાં મારતી હશે.

અમેરિકન વિકાસનો ફુગ્ગો ભમ્મ્મ દઈને ફૂટી ચૂક્યો છે. કાલે ગુજરાતનો અને ભારતનો ફૂટી નાં જાય તો નવાઈ નહિ. મૂડીવાદ ભલે મેમલ બ્રેઈનને અનુકૂળ હોય પણ એની સફળતા માટે બજારની ગતિવિધિઓ રેશનલ હોવી જરૂરી છે. કેવો જબરદસ્ત વિરોધાભાસ? બે વિરોધાભાસ વચ્ચે જીવવું એનું નામ તો જીવન છે.

Ref- Tim Jackson, author of Prosperity without Growth – economics for a finite planet
Lock_Key_Present Economy

ડિપ્રેશન ફાયદાકારક?

imagesCA42X1ZUડિપ્રેશન ફાયદાકારક?
જો હું કહું કે ડિપ્રેશન ફાયદાકારક છે તો તમે માનશો ખરા? ચાલો બીજો સવાલ કરું કે તાવ આવે તે પણ અમુક અંશે ફાયદાકારક છે તો માનશો? તાવ આવવો મતલબ શરીરનું ઉષ્ણતામાન વધવું. પણ ઉષ્ણતામાન વધે છે કેમ? આપણને તાવ આવે મતલબ શરીર એની અંદર રહેલા કોઈ ઇન્ફૅક્શન સાથે કામ પાર પડી રહ્યું છે. હવે જો તાવ ઉતારવાની દવા લઈએ એનો મતલબ શરીરના કામમાં આપણે દખલ કરી રહ્યા છીએ. તાવ દ્વારા શરીર એને લાગેલા ચેપ સામે લડતું હોય છે અથવા તે લડાઈનું પરિણામ તાવમાં જણાતું હોય છે. દવા દ્વારા તાવ ઊતારીને આપણે શરીરની ક્ષમતા ઓછી તો નથી કરી રહ્યા ને? જો કે તાવ આવે તો ડૉક્ટરની સલાહ લઈને પગલા ભરવા સારા. હદ બહારનું ટેમ્પરેચર શરીરને કે મગજને નુકશાન કરી શકે છે. ઈવોલ્યુશનરી સયાકોલોજીને ધ્યાનમાં લઈએ તો ડિપ્રેશનનો પણ કોઈ હેતુ અવશ્ય હોય છે.

ડિપ્રેશન એટલે ગુજરાતીમાં કહીએ તો ઉત્સાહભંગ, ખિન્નતા, માનસિક ઉદાસીનતા એવો અર્થ થાય. ડીપ્રેશનના પણ અમુક લોકોને સમયાંતરે હુમલા આવતા હોય છે. અમુક સમય ડિપ્રેશન રહે પછી જતું રહે. ચર્ચિલને ડીપ્રેશનના હુમલા અવારનવાર આવતા એવું કહેવાય છે. લગભગ દરેકને જીવનમાં આવા ઉત્સાહભંગ સમયનો અનુભવ થતો હોય છે, ભલે ખબર ના પડે કે આ ડિપ્રેશન છે. Paul Andrews, a clinical psychologist, અને Andrew Thompson, a psychiatrist બંને સંશોધકોનું કહેવું છે કે ડિપ્રેશન અમુક અંશે પેલાં તાવની જેમ ફાયદાકારક છે.

Depression leads to more analytical thinking. કોઈ ગંભીર પ્રશ્ન ઉદ્ભવે અને તેના ઉકેલ માટે આપણે વિચારીએ તે સ્વાભાવિક છે. પણ જો તમે ડિપ્રેશન મહેસુસ કરતા હોવ તો પેલાં પ્રશ્ન વિષે વિચારવાની દિશા બદલાઈ જતી હોય છે તેવું આ બંને વૈજ્ઞાનિકોને સંશોધન સમયે જાણવામાં આવ્યું છે. આવી વ્યક્તિ મોટી ગંભીર સમસ્યાને એક સાથે ઉકેલવાને બદલે નાના વિભાગમાં વહેંચીને એને ઝડપથી ઉકેલી શકે છે. ઘણીવાર કોઈ સમસ્યા સામટી ઉકેલવા જાઓ તો અઘરું પડે એને થોડી થોડી ઉકેલવામાં સરળ પડે. સામાજિક સમસ્યાઓ જ્યારે આપણે ડિપ્રેશન અવસ્થામાં હોઈએ તો વધુ સારી રીતે ઉકેલી શકતા હોઈએ છીએ તેવું સંશોધન કહે છે.

Depression makes us more focused. ડીપ્રેશનમાં વિચારવાયુ ઊપડતો હોય છે. એકની એક વસ્તુને વાગોળ્યા કરવાનું થતું હોય છે. કોઈ એક ચિંતા પકડાઈ જાય મનમાં તો દિશા બદલાતી નથી. એક જ વિચાર વારંવાર આવતો હોય છે. ડિપ્રેશન માટેની દવાઓ પણ આ વિચારવાયુને ટાર્ગેટ કરતી હોય છે. પણ Andrews અને Thompson આને પેલાં તાવ સાથે સરખાવે છે. તાવ કોઈવાર સારો સાબિત થતો હોય છે તેમ ડિપ્રેશન અનુભવતા લોકો એક સમસ્યા વિષે વધુ પડતા ગંભીર બની બીજી નાની નાની સમસ્યાઓ પ્રત્યે દોરવાઈ જતા નથી. વિચાર વિચાર વિચાર વિશ્લેષણ વિશ્લેષણ વિશ્લેષણ અને જ્યાં સુધી સમસ્યા હાલ નાં થાય ત્યાં સુધી વિચાર વિચાર વિચાર વિશ્લેષણ વિશ્લેષણ વિશ્લેષણ..તો દવાઓ અને આલ્કોહોલ લઈને ચિંતન, મનન, ઊંડી વિચારણા બંધ કરવાનું એવોઈડ કરવું જોઈએ. સમસ્યાનાં ચિંતનમાંથી ભાગવા માટે આપણે આલ્કોહોલ લેતા હોઈએ છીએ. અને એમ કરીને ખુદ સમસ્યાથી ભાગતા હોઈએ છીએ. દારુ પીને હળવા થવું મતલબ શાહમૃગની જમે રેતીમાં મુખ છુપાવવું. સમસ્યા કરતા એને હલ કરવાનું ચિંતન વધુ પરેશાન કરતું હોય છે. હહાહાહાહાહા….

Physical symptoms keep us on target. ડીપ્રેશનમાં એકાંત ગમતું હોય છે. એકલાં રહેવાની ઇચ્છા થતી હોય છે. લિબિડો મતલબ જાતીય સુખ ભોગવાની ઇચ્છામાં ઘટાડો થતો હોય છે. થાક વર્તાય છે. ઊંઘ પણ ઓછી થઈ જતી હોય છે. તો શરીર આવા ચિન્હો દર્શાવી તમને જાણ કરતું હોય છે કે સમસ્યાને જલદી ઉકેલો. સમસ્યાને હળવેથી લેશો નહિ. સમસ્યા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરો. શરીરને થતી પીડા, દુઃખ, દર્દ કામના છે તેના વગર ખબર ના પડે કે ક્યાં પ્રૉબ્લેમ છે.

Andrews અને Thompson ડિપ્રેશન માટે તરત દવાઓ કે દારુ લઈને તેના ચિન્હો નાશ કરવાના પક્ષમાં નથી. જૈવિક અથવા બાયોલોજીકલી બહુ થોડા લોકો ડિપ્રેશન વડે પીડાતા હોય છે. તેમના માટે દવાઓ કામની છે, હિતાવહ છે. મોટાભાગના લોકો સંજોગોવશાત ડિપ્રેશન વડે પીડાતા હોય છે, જે એક દિશાસૂચક છે કે ભાઈ સમસ્યા ગંભીર બનતી જાય છે તેના પ્રત્યે ધ્યાન દો એને હલ કરો. ઘરેલું સંબંધોમાં તણાવ આવી જાય કે બીજી કોઇપણ સામાજિક કે આર્થિક સમસ્યા હોય ત્યારે લોકો ડિપ્રેશન વડે પીડાતા હોય છે. ડિપ્રેશન પોતે રોગ નથી પણ ક્યાંક રોગ છે તેની જાણ કરતું ચિન્હ છે, તાવ પોતે સ્વતંત્ર રોગ નથી ક્યાંક ઇન્ફૅક્શન છે તેની જાણ કરતું એલાર્મ છે. વિચારો સાથે વાતો કરો, અભિવ્યક્તિને અર્થસભર લખાણમાં પરિવર્તિત કરીને ચિંતન મનન વધારી સમસ્યાના હલ તરફ આગળ વધો. ઓશો કહેતા કે ભાગો મત જાગો.
Food for thought. Give it a think. હહાહાહાહાહાહા!!!

Reference: Andrews, P. & Thompson, J.A. (2009). The bright side of being blue: Depression as an adaption for analyzing complex problems. Psychological Review, 116 (3), 620-654.

નાયક નહિ મહાનાયક હું મૈ….All Time Hero…

imagesCASVS5MKનાયક નહિ મહાનાયક હું મૈ….All Time Hero…
કોઈ વાર્તા, નાટક, કવિતા કે ફિલ્મના મુખ્ય પાત્રને આપણે નાયક કે હીરો તરીકે વર્ણવતા હોઈએ છીએ. આ એક સીધીસાદી વ્યાખ્યા છે. પણ હવે ભારતમાં તો હીરો શબ્દ ફિલ્મના મુખ્ય પાત્ર પૂરતો સીમિત બની ચૂક્યો છે. એમાય અમિતાભ બચ્ચન જેવા ખુબ સારા અભિનેયતાઓને લોકો સદીના મહાનાયક તરીકે ઓળખાતા થઈ ગયા છે. ખરેખર હીરો કોને કહેવાય? જેણે સમાજ માટે કોઈ બલિદાન આપ્યું હોય, જેણે સમાજ માટે કોઈ ઊચ્ચ આદર્શ સ્થાપ્યો હોય, જેનું સમગ્ર જીવન સમાજ માટે પ્રેરણારૂપ હોય, જે સમાજ માટે જીવ્યો હોય અને મર્યો હોય તેને હીરો કહેવાય. અહીં અમેરિકામાં હોલીવુડની ફિલ્મોના નાયકોને હીરો કહેવાનો ચાલ નથી. અમેરિકન મીડિયા પણ આ લોકોને હીરો કહેતું નથી. બહુ બહુ તો મૂવી સ્ટાર કહેતા હોય છે. અમેરિકન મીડિયા માટે એમના હીરો અહીંના સૈનિકો છે. હમણાં સુપર બોલ રમાય ગઈ. બાલ્ટીમોર અને સાનફ્રાન્સિસ્કો વચ્ચેની આ રમત જોવા આખું અમેરિકા ટીવી પર બેસી ગયું હતું. શરૂઆત સેન્ડીહુક સ્કૂલનાં બાળકોએ કોરસ ગાઈને કરી હતી. આ એ સ્કૂલનાં બાળકો હતા જે સ્કૂલમાં હમણાં ૨૦ ભૂલકાઓ સાથે ૨૬ જણની હત્યાનો દુઃખદ બનાવ બનેલો હતો. અમેરિકન ઓનર માટે ગીત ગવાતું હતું ત્યારે અફઘાનિસ્તાનમાં લડી રહેલી અમેરિકન સૈનિકોની ટ્રૂપ બતાવવામાં આવી હતી. અહીંનું મીડિયા કે પ્રજા એમના સૈનિકોને કદી ભૂલતું નથી.
જેનું સમગ્ર જીવન એક આદર્શ હોય તેને હીરો કહીએ તે જ વધુ યોગ્ય છે કે નહિ? હીરો માટે મને ત્રણ પ્રકાર સૂજે છે. ૧) પરિસ્થિતિજન્ય (Situational Heroes), ૨) જીવનપર્યંત (Life-Long Heroes), ૩) ૨૬/૧૧ Heroes. આ પરિસ્થિતિજન્ય હીરો એવા હોય છે જે કોઈ ચોક્કસ સંજોગોમાં એમનું heroic બિહેવિયર બતાવી જતા રહેતા હોય છે અને ફરી કદી એમના વિષે સંભળાતું પણ નથી હોતું. દાખલા તરીકે કોઈ નદીમાં ડૂબી રહ્યું છે. આવો હીરો આવશે પાણીમાં કૂદી પડશે, ડૂબતાને બચાવી પાછો ભીડમાં ખોવાઈ જશે. લાઇફ લોંગ હીરો એવા હોય છે જેમનું સમગ્ર જીવન heroism માટે એક વસિયતનામા સમાન હોય છે. આમાં ગાંધીજી, સુભાષ, ભગતસિંહ, માર્ટીન લ્યુથર કિંગ, જ્યોર્જ વોશિંગ્ટન, લિંકન, નેલ્શન માંડેલા અને મધર થેરેસા જેવા અનેક આવી જાય.. ૨૬/૧૧ હીરો એવા હોય છે કે જેમણે કારકિર્દી જ એવી પસંદ કરી છે જેમાં એમણે કાયમ એમનું હેરોઈઝમ બતાવવું પડતું હોય છે. આમાં ફાયરફાઈટર, પોલીસ, મીલીટરીનાં જવાનો આવી જાય.

જીવનપર્યંત જે લોકો સામાન્ય જન માટે હીરો રહ્યા છે તેવી મહાન પ્રતિભાઓમાં નિર્ણાયક નિશ્ચયાત્મક બાબત એ રહી હોય છે કે આવા લોકો દ્રઢ મનોબળ ધરાવતા હોય છે સાથે સાથે ખુબ હિંમતવાળા હોય છે. દયાળુ, પ્રેમાળ અને ઉમદા સ્વભાવ ધરાવતા હોય છે. બુદ્ધિશાળી અને પડકારોને પહોચી વળવાની ગજબની તાકાત ધરાવતા હોય છે. મહત્વાકાંક્ષી અને જોખમ લેનારા હોય છે. અને સૌથી મહત્વની બાબત એ કે આવા લોકો પ્રમાણિક હોય છે. બધા હીરોમાં આ બધા ગુણો નાં પણ હોય પણ મોટાભાગના હીરોમાં મહત્તમ આ બધા ગુણો હોય છે. લોંગ લાઇફ હીરોને એક ખાસ રાજકીય વાતાવરણ બહુ પહેલેથી મળેલું હોય છે. મતલબ જાહેરજીવનમાં બહુ વહેલા પ્રવેશી ચૂક્યા હોય છે. માર્ટીન લ્યુથર કિંગ આવી મોટાભાગની ક્ષમતા ધરાવતા હતા. બીજા હીરો સાથે આવા હીરોની સરખામણી પણ થતી હોય છે અને એ રીતે એમના heroism ની ડેપ્થ પણ મપાય જતી હોય છે. માર્ટીન લ્યુથર કિંગને ગાંધીજી સાથે સરખાવવામાં આવતાં. ગાંધીજીને એમના માનસિક ગુરુ કહીએ તો પણ ચાલે.

હીરો પણ કાલક્રમે જુના થઈ જતા હોય છે. પછી પ્રજા નવા હીરોને પૂજવા લાગતી હોય છે. ગાંધીજી બહુ જુના નથી. એમને જોનારા ઘણા જીવતા પણ હશે. ઝાંસીની રાણી, તાત્યા ટોપે અને નાનાસાહેબ જુના થઈ ગયા. લિંકન અને જ્યોર્જ વોશિંગ્ટનની સરખાણીએ લ્યુથરકિંગ હજુ નવા કહેવાય. પ્રજામાં એના આવા હીરોની માહિતી કયા પ્રકારે અને કેટલી મળે છે તેના વિષે કેટલું જાણવા અને શીખવા મળે છે તે પણ મહત્વનું હોય છે. ગાંધી વિષે પાઠ્યપુસ્તકો કે ઐતિહાસિક પુસ્તકો દ્વારા કશું ભણાવવામાં જ નાં આવે તો નવી પેઢી ભૂલી જાય. ઇન્ટરનેટ, ટીવી, રેડીઓ, શાળાના પાઠ્યપુસ્તકો, મેન્ગેઝીન્સ વગરે દ્વારા એમની માહિતી વારંવાર લોકોમાં ફેલાતી રહે તો એમની પ્રસિદ્ધિ ટકી રહે.

ભારતમાં તો બહુ સરળ છે કે હીરોને ભગવાન બનાવી એનું મંદિર બનાવી દો હજારો વર્ષ લગી પૂજાતા રહેવાના.

અમેરિકાના સિવિલ રાઈટ્સ ઇતિહાસનું અમર પાનું એવા માર્ટીન લ્યુથર કિંગની ૩૯ વર્ષના હતા અને હત્યા થઈ ગયેલી. ગાંધીજીની પણ હત્યા થઈ ગઈ હતી. ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી તેવો રૂઢિપ્રયોગ કાયમ વાપરવામાં આવતો હોય છે. સામે દલીલ થતી હોય છે કે એકલાં ગાંધીજીએ આઝાદી નથી અપાવી, બહુ બધાનો એમાં ફાળો છે. આજે ગાંધીજી આવે અને એમને પૂછો તો તેઓ પણ એવું જ કહેશે કે ભાઈ મેં એકલાએ આઝાદી નથી અપાવી, બહુ બધા લોકોએ બલિદાન આપ્યા છે. મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા હોય છે અને સમૂહનો એક નેતા હોય છે. એકલો નેતા પણ કશું કરી શકતો નથી. એના હાથ નીચે બીજી હરોળના અનેક નેતાઓ કામ કરતા હોય છે. ગાંધીજીએ આઝાદી અપાવી કહેનાર પણ જાણતો જ હોય છે કે એકલાં ગાંધીજી કશું કરી શકવાના નહોતા..આઝાદીના જંગમાં લડનારા લાખો લોકોને ગાંધીજીએ સબળ નેતૃત્વ પૂરું પાડેલું તે હકીકત છે. હવે જો એકલાં ગાંધીજીએ આઝાદી ના આપવી હોય તો આઝાદી વખતે જે કાઈ ખરાબ બને તેમાં એકલાં ગાંધીજી જવાબદાર ના હોય. ભાગલા પડ્યા, કોમી તોફાનોમાં લાખો લોકો મર્યા બધા માટે સહુ જવાબદાર હોય. કારણ સૌના સહિયારા પ્રયત્ને જ આઝાદી મળેલી. પણ આ બધા માટે એકલાં ગાંધીજીને જવાબદાર માની એમની હત્યા કરાઈ. લાગણીઓ ઉપર બુદ્ધિ અને તર્કનો કાબૂ નાં હોય ત્યારે આવી ગેરસમજ થતી હોય છે. જે ભારતની હંમેશાની નબળાઈ રહી છે.

સામાન્ય માણસમાં પણ ઘણીવાર અમુક સંજોગોમાં એમની અંદર રહેલો હીરો જાગી જતો હોય છે. મુંબઈના રેલવે સ્ટેશન પર ત્રાસવાદી મશીનગન વડે અંધાધૂંધ ગોળીઓ છોડતો હતો ત્યારે એક સામાન્ય પોલીસની અંદરનો ૨૬/૧૧ હીરો, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી જાગી ઊઠેલો. હાથમાં કશું હતું તો નહિ. ખાલી ખુરશીઓ ફેંકીને એણે પેલાંને ભગાડેલો અને પોતે ચારણી થઈને પડેલો. ત્યારે શનિવારે તેલ નાળિયેર ચડાવનારા હજારો હનુમાન ભક્તો પૂંછ દબાવીને ભાગતા હતા. અંધારાંમાંથી પસાર થવું હોય તો હનુમાન ચાલીસા ગાનારી પ્રજાને ફિલ્મોમાં બહાદુરી બતાવનારા હકીકતમાં બહાદુર હોય નહિ તેવા પાત્રોમાં એમનો હીરો જણાય તેમાં શું નવાઈ? imagesCA4DHHN5

જયને શીખવાનું શીખવીએ તો બધું શીખી જશે.

images જયને શીખવાનું શીખવીએ તો બધું શીખી જશે.
હમણાં એક દિવસ જય વસાવડાનો ઈન્ટરવ્યું જોતો હતો. એમણે પ્રાથમિક શિક્ષણ ઘરમાં લીધેલું સ્કૂલમાં ગયા વગર. એમનાં માતાપિતા બંને શિક્ષક હતા. એમનું માનવું હતું કે જયને શીખવાનું શીખવીએ તો બધું શીખી જશે. જય વસાવડાને મુખે બોલાયેલું આ વાક્ય મને બહુ સ્પર્શી ગયું. બાળક જન્મે પછી બધું જોઈ જોઈ અને સાંભળીને શીખતું હોય છે. બોલવાની ભાષા બાળક સાંભળીને શીખતું હોય છે. જન્મથી બહેરાં બાળકો સ્વરપેટી સારી હોવા છતાં બોલવાનું શીખી શકતાં નથી. શબ્દો સાંભળો, બ્રેઈનમાં એની માહિતી સ્ટોર થાય પછી સ્વરપેટી બોલવાનું શીખે ને? બ્રેઈનમાં શબ્દ વિષયક માહિતી ભંડાર હોય જ નહિ તો શું શીખવાનાં? કાનબહેરાંની જેમ અમુક માણસો બ્રેઈનબહેરાં પણ હોય છે. કાન તો એમનાં સાંભળે પણ એમનું બ્રેઈન સાંભળે જ નહિ. અથવા એમનું મનગમતું જ એમને સાંભળવું હોય છે.

પહેલાના જમાનામાં લખવાનું શરુ થયું નહોતું ત્યારે સાંભળીને જ બધું શિખાતું. વારંવાર એકની એક વાત સાંભળો તો વગર સમજે બ્રેઇનમા સ્ટોર થઈ જાય. એમાં રટણ આવ્યું. એકનાં એક શ્લોક વારંવાર રટવાનાં જેથી લાંબે ગાળે લોંગ ટર્મ મેમરીમાં અડ્ડો જમાવી દે. શાસ્ત્રો યાદ રાખવાનો બીજો કોઈ ઉપાય નહોતો. મને પોતાને વારંવાર રોજ સાંજે રટી રટીને ગીતાજીના બે અધ્યાય મોઢે હતા તે પણ કોઈ અર્થની સમજ વગર..બ્રેઈનની આ કમાલનો ઉપયોગ શાસ્ત્રો યાદ રાખી જાળવી રાખવામાં પેઢીઓને પેઢીઓ સુધી થયેલો. એમાં આવી ગોખણપટ્ટી. ગોખણપટ્ટી કોઈ ક્રિયેટીવ કામ નથી. આપણે કોઈ વિષય બાબતે સંભાળીએ સમજીએ એના ઉપર મનન કરીએ પછી યાદ રાખીએ તો એમાં કોઈ સર્જનાત્મકતા જણાય. બુદ્ધિ ખીલે અને સમજ પણ વધે. માટે ૨૫૦૦ વર્ષ પહેલાં બુદ્ધે કહેલું કે જેને સાંભળવાની કળા નથી આવડતી એનું શરીર તો આખલાની જેમ વધે છે પણ એની પ્રજ્ઞા નથી ખીલતી. સાંભળતાં તો બધા જ હોય છે પણ સાંભળવાની કલામાં કેટલા માહેર હોય છે? કાનબહેરાં હોવું તે કુદરતના હાથમાં છે પણ બ્રેઈનબહેરાં હોવું તે આપણી પોતાની ખામી છે. ૧૦૦ વર્ષ પહેલા ફ્રેંચ મનોવૈજ્ઞાનિક આલ્ફ્રેડ વિનયે કહે છે કે માણસની માનસિક અને શારીરિક ઉંમરમાં ફેર હોય છે. જે બુદ્ધ જરા જુદી રીતે ૨૫૦૦ વર્ષ પૂર્વે ભારતમાં કહી ગયા હતા. ૩૨-૩૩ વર્ષે મૃત્યુ પામેલા આદિ શંકરાચાર્ય અને સ્વામી વિવેકાનંદની માનસિક ઉંમરનો અંદાજ મારી શકાય ખરો? ૩૨-૩૩ પાછળ એક મીંડું લગાવો કે બે લગાવો.

આપણે મેકોલેને કાયમ ગાળો દઈએ છીએ પણ ગોખણપટ્ટી તો આપણી પ્રાચીન ધરોહર છે. હજુએ ભારતમાં ચાલુ જ છે. જ્યારે પશ્ચિમે ખુદ મેકોલેની શિક્ષણ પદ્ધતિ ફગાવી દીધી છે તો આપણે શું કામ પકડી રાખી છે? વેપાર કરવા? આપણે તો ગોખીને બધું યાદ રાખી લેતા હતા માટે લખવાનું સુજતુ જ નહોતું. લખવાની શરૂઆત ચીનાઓએ કરી હતી. પછી આપણે પણ શરુ કર્યું ભોજપત્રો ઉપર લખવાનું. એટલે આવ્યું વાંચીને શીખવાનું. સાંભળીને શીખવાનું એક મર્યાદામાં હોય પણ વાંચીને શીખવામાં કોઈ લીમીટ નહિ. વાંચીને પણ ગોખવાનું શરુ થઈ ગયું. જૂની ટેવો ભૂલાય? આર્ટ ઑફ લીશનીંગ સાથે આર્ટ ઑફ રીડિંગ પણ એટલી જ મહત્વની છે. અત્યારે બુદ્ધ હોત તો જરૂર કહેત કે જેને વાંચવાની કલા આવડતી નથી તેમના શરીર પાડાની જેમ વધે છે પણ એમની ડીક્ષનેરીમાં પ્રજ્ઞા નામનો શબ્દ હોતો નથી.. યોગાનુયોગ જુઓ આ જ જય વસાવડાએ લીધેલાં ઇન્ટર્વ્યૂમાં બરકમદાર એવા શ્રી. ચંદ્રકાંત બક્ષી કહેતા હતા કે ગુજરાતી લેખકો અભણ છે, વાંચતા જ નથી. વિવેચકો પણ અભણ છે. લેટીન અમેરિકન દેશોના લેખકોને પણ બક્ષીબાબુ વાંચતા રહેતા. Kim Peek નામનો અમેરિકન સ્પેશીયલ ક્ષમતા ધરાવતો હતો. આપણે કોઈ પુસ્તક વાંચીએ તો સામે પુસ્તકના બે પાના હોય છે. આ ભાઈલો જમણી આંખે જમણું આને ડાબી આંખે ડાબું પાનું વાંચતો. એમાં આખું પુસ્તક વાંચતા માંડ એકાદ કલાક લાગતો અને વળી વાંચ્યા પછી આખું પુસ્તક બ્રેઇનમા કાયમ માટે સ્ટોર થઈ જાય. એનું બ્રેઈન એવેરેજ માનવી કરતા ખુબ મોટું હતું. જો કે આ તો અપવાદરૂપ કેસ કહેવાય.

એટલે સમજીને સાંભળવાનું જેટલું મહત્વનું છે તેટલું જ સમજીને વાંચવાનું પણ હવે મહત્વનું ગણાય. સાંભળવાની અવેજમાં વાંચીને પણ ચલાવી શકાય. આજકાલ અખબારોમાં નવા લેખકોના લેખો વાંચીએ તો એમનાં વાંચનના અભાવની છબી તરત જણાઈ જતી હોય છે. મેં ઓનલાઈન દિવ્યભાસ્કરમાં આર્ટિકલ નીચે પ્રતિભાવ આપવાનું શરુ કરેલું. એમાંથી બે ચાર લાંબા પ્રતિભાવો આર્ટિકલ તરીકે મુકાયા હતા. બસ એમાં જ મારું લખવાનું શરુ થયેલું. જો કે મારા પ્રતિભાવો બહુ જલદ રહેતા હોવાથી પછી તે લોકોએ પબ્લીશ કરવાનું બંધ કરેલું તે વાત જુદી છે. હહાહાહા

આખી દુનિયામાં સ્કૂલ કૉલેજોમાં શિક્ષણ પદ્ધતિ બદલાઈ ગઈ છે પણ આપણી હજુ મેકોલેના જમાનાની ચાલુ જ છે. આપણે ગોખણીયા બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ પેદા કરીએ છીએ પણ ક્રિયેટીવ ઈન્ટેલીજન્ટ નહિ. હમણાં મિત્ર નિખીલભાઈએ લીધેલાં એક ઈન્ટરવ્યુંમાં ભારતના એક જાણીતા વૈજ્ઞાનિક ડૉ જે. જે. રાવલ કહેતા હતા કે ગોખણપટ્ટીનાં જમાનામાં ભારતમાં આઇન્સ્ટાઇન ક્યાંથી પેદા થવાના? એટલે સાંભળીને, વાંચીને પછી એ બધું સમજીને શીખવાનું શીખી જઈએ તો પછી ભયો ભયો…

imagesCAEF2EL8રમવાની ઉંમરમાં રમવું જોઈએ પણ મને કદી લખોટીઓ રમતા આવડી નહિ. ભમરડો ફેરવતા પણ આવડે નહિ. પતંગ ચઢાવતા હજુએ આવડતું નથી. ક્રિકેટ પણ ભાગ્યેજ બચપણમાં રમ્યો હોઈશ. અખાડામાં અને જિમમાં જવાનો શોખ ખરો. આ બધું કેમ આવડ્યું નહિ? કે ભાઈ મને વાંચવામાંથી ટાઈમ જ નહોતો મળતો..હહાહાહાહાહા imagesCAL19NA4

અવતાર

imagesCAJDO3OFઅવતાર

આપણે સૌ ભારતીયો કૃષ્ણને અવતારીપુરુષ ગણીએ છીએ….હું તો નથી સમજતો…કૃષ્ણને અવતારી સમજીને એની મહત્તાનું અવમૂલ્યન કરીએ છીએ. કૃષ્ણ એક માનવ હતા , મહામાનવ હતા, એક રાજા હતા, સર્વાઈવલનાં યુદ્ધના એક વીર યોદ્ધા હતા. એક ભગવાન અગણિત પરાક્રમો કરે એમાં શું નવાઈ? એ તો કરવાનો જ છે. એક માનવ અગણિત પરાક્રમો કરે તો એની મહત્તા સમજાય લોકોને પ્રેરણા મળે કે આપણે પણ આમ કરી શકીએ તેમ છીએ. અવતારવાદની ધારણાએ લોકો રાહ જોતા હોય છે કે ભગવાન અવતરશે અને બધું સારું થઈ જશે. ખાલી ભારતમાં જ કેમ અવતારો અવતરે? બીજા દેશોમાં કે બીજા ધર્મોમાં કેમ નહિ? અને જિસસ કે મોહમદ ને અવતાર માનો તો ફક્ત એક એક જ કેમ? બીજા ક્યાં છુપાઈ ગયા? શું તે લોકો ભગવાનના અળખામણા છે? ખાલી ભારત જ પુણ્યભુમી છે?

મૂળ તો અવતારો ઉપરથી અવતરે તે ધારણા જ ગલત છે. અવતારોની ધારણા રૂપક છે. રૂપકને સાચા માની લેવા મૂર્ખતા છે. પ્રાચીન મનીષીઓ પાસે વાર્તાઓ કહેવાની કળા હતી. આપણે સ્ટોરી ટેલીંગ ચિમ્પાન્ઝી છીએ. વાર્તાઓ કહીને બાળકોને સમજણ આપવાની આપણી કળા છે. મને એમાં ઈવોલ્યુશન દેખાય છે. કદાચ હું ખોટો પણ હોઈ શકું. પહેલો અવતાર મત્સ્ય અવતાર, તો પહેલો વ્યવસ્થિત સજીવ માછલી છે. પછી કૂર્મ અવતાર થયો તે માછલી કરતા વધુ વિકસેલો સજીવ છે. જમીન ઉપર પણ ફરી શકે છે અને પાણીમાં પણ ફરી શકે છે. માછલી જમીન ઉપર ફરી શકતી નથી તો કૂર્મ એટલે કાચબાને અવતારી મતલબ વિશિષ્ટ ગણવો જ રહ્યો. પછી વરાહ અવતાર આવ્યો. ધરતીને ખોદી નાખતું મેમલ પ્રાણી. કથા પણ એવી જ છે ધરતીને એના દંત ઉપર ધરીને રાક્ષસનાં પંજામાંથી છોડાવી લાવ્યું. પછી આવ્યો નૃસિંહ અડધો પશુ અડધો માનવી. ૩૦ લાખ વર્ષ જુનું લ્યુસી નામ આપેલું ફોસિલ મળ્યું છે જે અડધું પશુ અને અડધું માનવી બેપગે ચાલતું હશે તેવું છે..

પછી વામન અવતાર આવ્યો. ઇન્ડોનેશિયામાંથી એક બાળકનું ફોસિલ મળ્યું હતું. વૈજ્ઞાનિકોને એમ કે કોઈ બાળકનું હશે પણ પરીક્ષણ પછી જાણવા મળ્યું કે પુખ્ત ઉંમરની સ્ત્રીનું હતું. પૃથ્વી પર એક આવી માનવોની જાત વિકસેલી હતી જે કદમાં સાવ નાની હતી. કાળક્રમે એનો સંપૂર્ણ વિનાશ થઈ ગયો. એવું પણ બને કે પહેલા આખા ભારતમાં અનાર્યોનું રાજ હતું. આર્યો બહારથી આવ્યા અને એમના કોઈ બટકા મહાપુરુષે અનાર્યોને ખદેડી મૂક્યા હોય દક્ષિણ ભારત બાજુ એને વામન અવતાર ગણતાં હોય. આજે પણ બલિરાજાની પૂજા દક્ષિણ ભારતમાં થાય જ છે. વામન અવતાર સાથે મહામાનવોને અવતાર માનવાનું શરુ થયું. પછી આવ્યા પરશુરામ. પરશુરામે કયા દિવ્ય કાર્યો કર્યા હતા? ક્ષત્રિયાણીઓના ગર્ભ ચીરીને ગર્ભસ્થ બાળકોની હત્યા કરનાર કઈ રીતે દિવ્ય કહેવાય? સોચો જરા? એક ક્ષત્રિયનાં પાપે સમસ્ત ક્ષત્રિયોની હત્યા? તે પણ એકવીસ વખત? ક્ષત્રિયોના લોહી વડે પાંચ પાંચ તળાવ ભરેલા. અતિશયોક્તિ હશે પણ આમાં કોઈ અવતારી કાર્ય જણાતું નથી. હિંદુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, હિટલર, સ્ટાલિન, માઓ બધાએ વખતોવખત જેનોસાઈડ કરેલા જ છે. દિવ્યતાની વાતો છોડો પરશુરામ આજે પણ આપણી અંદર વસેલા ચિરંજીવ જ છે.

પછી આવ્યા રામ. એમની કથા એટલી બધી કહેવાઈ ગઈ છે કે હવે રસકસ હીન થઈ ગઈ છે. લોકો અજાગ્રત પણે એમની કથા હજારો વર્ષથી સાંભળે જ જાય છે. એમની કથા કુશળ વક્તાઓને સામે મૂર્ખ શ્રોતાઓના ટોળા મળી રહેવાથી પેટ ભરવાનું મુખ્ય સાધન બની ચૂક્યું છે. શ્રી. વર્ષા અડાલજા સંદેશમાં ચંદરવો નામની થાંભલી લખે છે, એમાં ઘણીવાર પ્રશ્ન પૂછી ચૂક્યા છે કે ભારતમાં સ્ત્રીઓની અગ્નિપરીક્ષા ક્યારે બંધ થશે? હું મજાકમાં કહેતો હોઉં છું કે જ્યાં સુધી કથાકારો રામાયણ વાંચતા રહેશે ત્યાં સુધી બંધ નહિ થાય.. હહાહાહાહા

પછી આવ્યા શ્રી.કૃષ્ણ એક મહાન ઐતિહાસિક યોદ્ધા. હા! તો મિત્રો, આપણે સૌ ભારતીયો કૃષ્ણને અવતારીપુરુષ ગણીએ છીએ….હું તો નથી સમજતો…કૃષ્ણને અવતારી સમજીને એની મહત્તાનું અવમૂલ્યન કરીએ છીએ. કૃષ્ણ એક માનવ હતા , મહામાનવ હતા, એક રાજા હતા, સર્વાઈવલનાં યુદ્ધના એક વીર યોદ્ધા હતા. એક ભગવાન અગણિત પરાક્રમો કરે એમાં શું નવાઈ? એ તો કરવાનો જ છે. એક માનવ અગણિત પરાક્રમો કરે તો એની મહત્તા સમજાય લોકોને પ્રેરણા મળે કે આપણે પણ આમ કરી શકીએ તેમ છીએ. રાજાઓને ભગવાન માનવાની આ દેશમાં પ્રથા છે. ગીતા કૃષ્ણનો મહાન સંદેશ ગણો કે વ્યાસજીએ કૃષ્ણના મુખે સર્વે ઉપનિષદનો સાર મૂકી દીધો પણ આ “સંભવામિ યુગે યુગે” મૂકીને બધા ઉપર પાણી ફેરવી નાખ્યું.. “પરિત્રાણાય સાધૂનામ, વિનાશાયચદુષ્ક્રુતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે” નિત્ય ગાનારી પ્રજા કદી ક્રાંતિ કરી શકે નહિ…ભગવાન આવશે બધું કરશે આપણે શું???

ધીમે ધીમે ભગવાન કે અવતાર પણ સુસંસ્કૃત થતા જતા હોય તેવું લાગે છે. એમાં પણ ઈવોલ્યુશન થતું લાગે છે. પરશુરામ જેટલા રામ અને કૃષ્ણ ક્રૂર નહોતા. માનવીય સંવેદનાઓથી ભરેલાં હતા. કૃષ્ણ પછી બધું ઠપ્પ થઈ ગયું. કલ્કી ભવિષ્યની કલ્પના હતી. ભૂતકાળની કલ્પનાઓમાં ક્યાંક કૃષ્ણ ઐતિહાસિક હતા તેવા પુરાવા મળે છે. બુદ્ધને હિંદુ ધર્મની ધારામાં અવતાર માનવા તે બહુ મોટો દંભ છે. કૃષ્ણ સુધીના તમામ અવતારો યુદ્ધખોર હતા. બુદ્ધ તો અહિંસક હતા. બુદ્ધ પોતાને હિંદુ માનતા હતા ખરા? બુદ્ધે ઈશ્વરનો ઇનકાર કર્યો. અલગ ધર્મ સ્થાપ્યો. હિંદુ રાજા પુષ્યમિત્ર શૃંગે એક એક બૌદ્ધ સાધુના માથા સાટે સોનામહોરના ઇનામ જાહેર કરેલા. બૌદ્ધ ધર્મને હિન્દુઓએ બહાર ખદેડી મૂક્યો અને હિંદુઓ હવે બુદ્ધને અવતાર ગણે તો નર્યો દંભ જ કહેવાય.

ઘેટાઓ માટે એમના ભરવાડ હમેશાં અવતાર જ હોય છે.