Category Archives: જ્ઞાન વિજ્ઞાન

કાશ્મીર કાંટે કી કલી

kashmirકાશ્મીર કાંટે કી કલી

કાશ્મીર એક સમયનું પૃથ્વી પરનું સ્વર્ગ, પાછલા ત્રણ દાયકામાં આશરે ૪૨૦૦૦ માનવોનાં રક્ત વડે સિંચાયેલું ધર્માંન્ધાતાની લોહીયાળ લોન ઉપર ખીલેલું રક્તપુષ્પ બની ચૂકેલું છે.

એવું કહેવાય છે કે કશ્યપ ઋષિએ અહિ લોકોને વસાવેલા. કશ્યપ-મીર એટલે કશ્યપ સરોવર અથવા કશ્યપ-મેરુ એટલે કશ્યપ પર્વત પરથી કાશ્મીર નામ પડ્યું હોવું જોઈએ. આર્યો બહારથી આવેલા એ થીયરી ઘણા બધા માનતા નથી પણ મને લાગે છે કશ્યપ નામના આર્યોના એક સમૂહના વડાનાં પૂર્વજો રશિયાની દક્ષિણે કે યુરોપથી આવીને હાલના અફઘાનિસ્તાન પછી ભારતમાં પ્રવેશ્યા હોય અને પછી કાળક્રમે નવી ભૂમિની શોધમાં એમના વારસદાર કશ્યપે કાશ્મીરમાં એમની ટોળીને વસાવી હોય. સ્વાભાવિકપણે ઠંડાગાર પ્રદેશોમાંથી આવેલા આર્યોને કાશ્મીર ભાવી જાય રહેવા માટે એમાં કોઈ નવાઈ નથી.

કાશ્મીર હિન્દુઓના શૈવ સંપ્રદાય અને બુદ્ધ ધર્મનું મહત્વનું કેન્દ્ર રહેલું. ચીનમાં બુદ્ધ ધર્મ વાયા કાશ્મીર ગયો હોય એમાં શંકાનું કારણ ખાસ લાગતું નથી. કાર્કોટ અને ઉત્પલ જેવા પાવરફુલ હિંદુ સામ્રાજ્યોના સમયમાં કાશ્મીર સાહિત્ય, સંગીત, નાટ્ય, કવિતા, કળા, કારીગરી, હિંદુ ફિલોસોફી, મીમાંસા વેદાંત, વગેરેનું મહત્વનું કેન્દ્ર રહેલું. અભિનવ ગુપ્તા જેવો ગ્રેટ મલ્ટી ટેલેન્ટેડ તત્વજ્ઞાની કાશ્મીર ઘાટીમાં જન્મેલો.

ભારતમાં ઇસ્લામનું આગમન થઈ ચૂક્યું હતું એવામાં ઈ.સ. ૧૩૧૩મા શાહ મીર કાશ્મીરના હિંદુ રાજા સહદેવના દરબારમાં કામે લાગ્યો. સહદેવ પછી એના ભાઈ ઉદયનદેવના મૃત્યુ પછી શાહ મીરે પોતે જ ગાદી સંભાળી લીધી. કાશ્મીરનો આ પહેલો મુસ્લિમ શાસક. એના પછી મુઘલોનું શાસન આવ્યું. જહાંગીર અને શાહજહાંનાં સમયમાં કાશ્મીર વધુ ને વધુ વિકસ્યું. થોડો સમય અફઘાન દુરાનીનું રાજ રહ્યું પછી આવ્યા શીખ મહારાજા રણજીતસિંહ મેદાનમાં. શીખ સામ્રાજ્ય છેક તિબેટ સુધી ડંકો વગાડતું હતું. ગુલાબસિંહ અને જોરાવરસિંહ કહલુરીઆએ રાજોરી, કિષ્ટવર, સુરુ અને કારગીલ, લડાખ, બાલ્ટીસ્તાન, બધું કાશ્મીર ઘાટી સાથે જોડી દીધું. શીખોના શાસનમાં કાશ્મીર ખૂબ સમૃદ્ધ બન્યું અને એના ઉત્પાદનોને આખી દુનિયામાં ઓળખ મળી.

શીખ સામ્રાજ્યના પતન પછી કાશ્મીર અંગ્રેજોનું પ્રિન્સલી સ્ટેટ બન્યું. લડાખ તિબેટીયન સંસ્કૃતિ ધરાવતું બૌદ્ધિસ્ટ હતું, જમ્મુમાં હિંદુ, શીખ અને મુસ્લિમો હતા, કાશ્મીર ઘાટીમાં સુન્ની મુસ્લિમો સાથે થોડા હિન્દી બ્રાહ્મણો હતા જેને આપણે કાશ્મીરી પંડિત કહીએ છીએ. બાલ્ટીસ્તાનમાં વંશીય રીતે લડાખી પણ ધાર્મિક રીતે શિયા ઇસ્લામી લોકો રહે છે. ગિલગીટ એજન્સીમાં બધા ભેગાં પણ ઇસ્લામના શિયા પંથી, પુંચમાં મુસ્લિમો ખરા પણ વંશીય રીતે એથનીકલી કાશ્મીર ઘાટી કરતા જુદા છે.

આઝાદી સમયે કાશ્મીરના મહારાજાને નેપાળની જેમ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઓળખ મેળવવી હતી પણ ભારતના એકેય રજવાડા પાસે પોતાનું મજબૂત લશ્કર ક્યા હતું? રાજાઓના પોતાના અંગરક્ષક દળ હોય કે નાનીમોટી પોલીસ હોય બાકી સૈન્યના નામે કશું મળે નહિ. અંગ્રેજોએ રાખવા જ દીધું નહોતું. એટલે કાંતો પાકિસ્તાન સાથે જોડાઓ કે ભારત સાથે કોઈ બીજો વિકલ્પ હતો જ ક્યા? કાશ્મીરના મહારાજા હરિસિંહ નાછૂટકે ભારત સાથે જોડાયા. પછીનો ઇતિહાસ આપણે એટલો બધો જાણીએ છીએ કે એટલું તો ઇતિહાસ ખૂદ નહિ જાણતો હોય. એટલે એ બધી પળોજણમાં પડવું નથી. એ સમયે મહારાજા હરિસિંહને, નહેરુજીને, સરદારને જે યોગ્ય લાગ્યું હશે તે કર્યું હશે એમાં કોઈને દોષ દેવો હવે નકામો છે. રાજા-મહારાજાઓને પણ વિશિષ્ટ અધિકારો આપેલા જેતે સમયે. સાલિયાણા પણ બાંધી આપેલા જ હતા. એમ કાશ્મીરને પણ ૩૭૦ ઘડી વિશિષ્ટ દરજ્જો આપેલો, આપવો પડેલો કહીએ તો વધુ સારું. રાજા-મહારાજાઓને આપેલા વિશિષ્ટ દરજ્જાઓ છીનવી લીધા એ વખતે બધાને સારું લાગતું હતું તો હવે કેમ બુરું લાગે છે? માનસિકતા તો એની એજ છે. પેલા વ્યક્તિગત હતા તો આ આખું રાજ્ય છે, તો રાજ્યની ઓળખ અને સ્વતંત્રતા હોય તેમ વ્યક્તિની ઓળખ અને સ્વતંત્રતા કેમ ના હોય?

માણસ સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલો છે અને સમૂહનો એક વડો હોય. આ વૈજ્ઞાનિક હકીકત છે. વ્યક્તિની સ્વતંત્રતા એક પગ ઉંચો કરવા જેટલી છે એનો બીજો પગ પોતાના સમૂહ અને એના કાયદા કાનૂન સાથે જોડાયેલો હોય છે. આપણે સરીસર્પ નથી નથી અને નથી. માનવીની સામાજિક વ્યવસ્થા બીજા પ્રાણીઓની સામાજિક વ્યવસ્થા કરતા જટિલ છે. કારણ એની પાસે બહુ મોટું કોર્ટેક્સ છે પુષ્કળ ન્યુરોન્સ છે. માનવી એક સાથે અનેક સમૂહોમાં જીવતો હોય છે. કુટુંબ, ફળિયું, ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય, દેશ, ધર્મ, વ્યવસાય, વિચારધારા આ બધા જુદા જુદા સમૂહોનું પ્રતિનિધત્વ કરતા હોય છે. આ બધા અનેક સમૂહોમાં માનવી એક સાથે જીવતો હોય છે. ક્યારે કોને પ્રાધાન્ય આપવું એનું સંતુલન રાખવું એ બહુ મહત્વની કળા છે.

“જેમ જેમ તમે મોટા અને મોટા સમૂહ સાથે જોડાતા જાઓ તેમ તેમ તમારી વ્યક્તિગત ઓળખ અને સ્વતંત્રતાનું વજૂદ ઓછું થતું જવાનું.”

મારે કુટુંબના ભલા માટે વ્યક્તિગત ઓળખો સ્વતંત્રતા બાજુ પર મુકવી પડતી હોય છે. અથવા એમાં બેલેન્સ જાળવવું પડતું હોય છે. તમારે સમાજના ભલા માટે કૌટુંબિક ઓળખ અને એનું ભલું બાજુ પર મૂકવું પડતું હોય છે. એવું કરે એને તમે બીરદાવો પણ છો. એવું લોકો ધરમ માટે કરતા હોય છે, દેશ માટે કરતા હોય છે, એક ચોક્કસ વિચારધારા માટે, એક ચોક્કસ સમાજ માટે કરતા હોય છે. આમાં પણ અમુક વિશિષ્ટ હોશિયાર લોકો આ બધા માટે બેલેન્સ જાળવીને બધાના ભલા માટે કામ કરતા હોય છે છતાં એમને ક્યાંક તો તડજોડ કરવી પડતી હોય છે એકાદને પ્રાધાન્ય આપવા કોઈ બીજાને ઓછું મહત્વ આપવું પડતું હોય છે. બાબાસાહેબ આંબેડકર હોય, ગાંધીજી હોય એવા અનેક આગેવાનો હતા જે એક સાથે અનેક સમૂહોના ભલા માટે પછી દેશ હોય કે કોઈ ચોક્કસ સમાજ હોય કે કોઈ ચોક્કસ વિચારધારા હોય એના માટે કામ કરતા જ હતા. દેશ એક મોટો સમૂહ જ છે. ક્યારેક દેશ માટે વિચારધારાને ઓછું મહત્વ આપવું પડતું હોય છે, ક્યારેક કોઈ ચોક્કસ સમાજ માટે દેશને ઓછું મહત્વ આપવું પડતું હોય છે. ક્યારેક કોઈ વિચારધારા માટે દેશ સમાજ બધાને ઓછું મહત્વ આપવું પડતું હોય છે. અને ધરમ માટે તો લોકો બધું ત્યજી દેતા હોય છે. હહાહાહાહા

કાશ્મીર એક સાથે અનેક દેશો જોડાયેલો રાજકીય વ્યુહાત્મક અને સરંક્ષણની દ્રષ્ટીએ મહત્વનો પ્રદેશ છે એટલે તે ભારતમાં રહે તેવું તે સમયના નેતાઓએ વિચાર્યું હશે. બાળક ભણવા બેસે એટલે એના ભણતરના ભલા માટે ક્યારેક ચોકલેટ આપવી પડતી હોય છે કે આટલુ લેશન કરી નાખ પછી ફરવા લઇ જઈશ તો ક્યારેક એના દાંતના ભલા માટે ચોકલેટ છીનવી પણ લેવી પડતી હોય છે.

કાશ્મીરમાં રહેતા લોકોને કઈ ઓળખ જોઈએ છે? કઈ ઓળખની સ્વતંત્રતા જોઈએ છે? કાશ્મીરી તરીકેની કે બીજી કોઈ? ૧૯૦૧મા કાશ્મીર વેલીમાં ૯૩% મુસ્લિમ હતા, હિંદુઓ લગભગ ૬૦,૦૦૦ હતા, તે સમયે જમ્મુમાં ૯૦% હિંદુઓ હતા, એમાં પણ બ્રાહ્મણો ૧૮૬૦૦૦, રાજપૂતો ૧૬૭૦૦૦, ખાતરી ૪૮૦૦૦ અને ઠક્કર ૯૩૦૦૦ હતા. કાશ્મીરમાં હિન્દી, પંજાબી, ડોગરી, કાશ્મીરી, તિબેટીયન, અને બાલ્ટી આટલી તો ભાષાઓ બોલાય છે.

મારે કાશ્મીર વેલીના બહુમતિ મુસ્લિમોને પૂછવું છે કે તમારે કાશ્મીરી તરીકે ઓળખ જોઈએ છે? તો તમે મૂળ કાશ્મીરી પંડિતોની છાતીમાં છરા ના ભોંક્યા હોત, તમે એમની બહેન દીકરીઓની છાતીઓ ચીરી બળાત્કાર ના કર્યા હોત. એમને અડધી રાત્રે ભગાડી ના મુક્યા હોત. તમારે કાશ્મીરી તરીકે ઓળખ જોઈતી નથી. તમારે ૩૭૦નાં બહાને મુસ્લિમ આતંકવાદ ફેલાવવો છે. આખાય ભારતમાં એનો ચેપ લગાવવો છે. કાશ્મીર જેવા ધરતી પરના સ્વર્ગને એક લોહીયાળ લોનમાં ફેરવી નાખ્યું છે. તો કયા મોઢે આગવી ઓળખ અને સ્વતંત્રતાની વાતો કરવી છે?

કાશ્મીરમાં આંદોલનો અને ચળવળો ચલાવતા તમામે તમામ નેતાઓના છોકરાં ઇંગ્લેન્ડ અમેરિકા ભણે છે અને બાકીના કુટુંબ સાથે રહે છે. એકેય નેતાનો છોકરો આંદોલનમાં માર્યો ગયો હોય તો કહો.

કાશ્મીરના ભલા માટે, ભારતના ભલા માટે ક્યારેક ૩૭૦ નામની ચોકલેટ આપી હશે એટલે કેમ આપેલી અને મહાન ભૂલ હતી વગેરે બકવાસ વાતો છે. ૩૭૦ ખાતા ના આવડ્યું, તો એનો દૂરુપયોગ થયો, તો એને વહેલી પાછી લઇ લેવાની હતી. પણ પાછી લઈશું તો નુકશાન થશે એવું ઘણાને લાગતું હશે એટલે એમણે પાછી ના લીધી અને ઘણાને એવું લાગ્યું હશે કે પાછી નહિ લઈએ તો નુકશાન થશે એટલે એમણે પાછી લઇ લીધી. ત્રીસ વરસમાં ૪૨૦૦૦ હત્યાઓ, આતંકવાદ, ત્રાસવાદ પછી માનવતાને નામે, કાશ્મીરીઓની સ્વતંત્ર ઓળખ, તે પણ ફક્ત કાશ્મીર વેલીના મુસ્લિમો માટે વકીલાત કરવી મૂર્ખામી છે. આપણી ગુજરાતી તરીકેની ઓળખ કોણે છીનવી લીધી? પંજાબી તરીકેની ઓળખ કોણે છીનવી લીધી? અરે અમેરિકામાં પણ દેન નથી કે આપણી ગુજરાતી તરીકેની ઓળખ છીનવી લે. અમે પ્લેનમાં થેપલાં કાઢીને અથાણા સાથે ખાઈએ જ છીએ ને? હહાહાહાહા

જેમ જેમ તમે મોટા સમૂહનાં ભલાનું વિચારો તેમ તેમ તમારે નાના સમૂહની વિચિત્ર ઓળખોને મહત્વ આપવાનું ઓછું કરવું પડે. જે સારું છે, બાકીના સમાજને નડતરરૂપ નથી એને તો કોઈ ટચ કરવાનું નથી. ઉલટાનું તમને બાકીના સમાજનો ટેકો મળશે. ન્યુઝીલેન્ડમાં જોયું હતું ને પેલા ગાંડાએ મસ્જીદમાં હત્યાકાંડ કરેલો આખી દુનિયા કોને પડખે હતી? તમારે પોતાની ગંદી, ગાંડી, ઘેલી ઓળખ જાળવી રાખવા બાકીના મોટા કે નાના સમૂહને ત્રાસ આપવો હોય તો પછી શાસનકર્તાઓને કડક થવું જ પડે.

આશા રાખીએ કાશ્મીર કાંટે કી કલી, હવે ફરી પાછો ખુબસુરત ગુલાબનો બગીચો બની જાય એના માટે આપણી જવાબદારી પણ ઓછી નથી.

:- ભૂપેન્દ્રસિંહ રાઓલ, સાઉથ એબિંગન્ટન, પેન્સિલવેનિયા, યુએસએ..

જગતનો તાત આત્મહત્યાને રસ્તે (વૈષમપાયણ મુનિ એણી પેર બોલ્યા)

 

 

 

જગતનો તાત આત્મહત્યાને રસ્તે (વૈષમપાયણ મુનિ એણી પેર બોલ્યા)untitled

 

વર્ષો જૂની આદત એટલે સ્વર્ગવાસી મહારાજા જનમેજય, સ્વર્ગવાસી મુનિ વૈષમપાયણનાં આશ્રમમાં રાબેતામુજબ પ્રાતઃકાળે પહોચી ગયા અને વંદન કરી આજે મુનિ કઈ કથા સંભળાવશે તેની રાહ જોવા લાગ્યા.

વૈષમપાયણ મુનિને પણ ખબર કે આ રાજા જનમેજયને મારી કથા સાંભળ્યા વગર સવારની ચા ગળે નહિ ઉતરે. એટલે મહામન વ્યાસજીની જેમ કશી ઔપચારિકતા, અરે મિત્રો ફોર્માલીટી દાખવ્યા વગર મુનિએ ત્વરિત કથા શરુ કરી જ દીધી.

હે રાજન ! જંબુદ્વિપમાં આજકાલ પ્રણોબ મુખોર્ય નામના રાજા ફક્ત નામનું રાજ કરી રહ્યા છે. ખરું રાજ તો એમના મહાઅમાત્ય મહામહિષી મહેન્દ્ર મુખી કરી રહ્યા છે. આમ તો આ મહેન્દ્ર મુખી જંબુદ્વિપનાં એક ગુજરાત નામના પ્રાંતનો સૂબો એટલે કે વહીવટદાર માત્ર હતો પણ બોલવામાં બહુ હોશિયાર અને કાવાદાવામાં માહેર એટલે એના ગુરુજીના પગ કાપી આખા જંબુદ્વિપનો મહાઅમાત્ય બની બેઠો. આમેય જંબુદ્વિપમાં ક્ષત્રિય રાજાઓનો સૂર્ય સદંતર આથમી ચૂક્યો છે. હવે ત્યાં જનપદ નામની વ્યવસ્થા ચાલી રહી છે. એટલે જેની જિહ્વા કાબેલ હોય તેવાં લોકો મત મેળવી રાજગાદી પર આવી શકતા હોય છે ભલે એમના બાપદાદાઓએ સાત શું હજાર પેઢીએ પણ દેશ માટે માભોમ માટે એક ટીપું પણ લોહી વહાવ્યું ના હોય. લોહી જોઈ ચક્કર આવે અને ગબડી પડે તેવી પ્રજાતિઓ હવે ત્યાં રાજ કરતી થઈ ગઈ છે.

ખેર આ મહેન્દ્ર મુખીની વાત પછી કરીશું, આજે મારે તને હે રાજન મોહમયી નગરીમાં રહેતા પોતાની જાતને મહાન માનતા પત્રકાર વૈશ્યની  કથા કહેવી છે, જેનું નામ રૌરભ છે. એટલું બોલી મુનિ જરા શ્વાસ લેવા રોકાયા.

રાજા જનમેજય પણ ગભરાઈ ગયો કે રૌરભ તો રૌરવ નરકને ભળતું નામ છે અને મુનિ કેમ આજે કોઈ વ્યક્તિને આવા ભળતા નામ આપે છે?

મુનિ તો મનોવિજ્ઞાની હતા રાજાની વ્યથા સમજી ગયા.

મુનિ  બોલ્યા હે રાજન ! ‘ગભરાઈશ નહિ આમ તો તે વણિકનું નામ સુગંધને લગતું છે પણ એની વાતોમાં, એના લખાણમાં મને કાગડાની વિષ્ટાની દુર્ગંધ જણાય છે માટે એનું નામ મેં રૌરભ કહ્યું તને.’

જનમેજય રાજા બોલ્યા ‘હે મહામુની આજે આ છાપામાં લખતા આ ક્ષુદ્ર જંતુની વાત શું કામ માંડી?’

હે રાજન ! ‘એનું કારણ એ છે કે આ પત્રકાર-લેખન જગતના ક્ષુદ્ર જન્તુએ જગતના તાતની અવહેલના કરી છે. એની મહાઅમાત્ય મહેન્દ્ર મુખી પ્રત્યેની અંધ ભક્તિએ આજે તમામ સીમાઓ વટાવી દીધી છે. આજે તેણે જમ્બુદ્વિપના મુખ્ય ન્યાયાધીશની પણ અવહેલના કરી છે. મુખ્ય ન્યાયાધીશ કોઈ વાત કરતા લાગણીશીલ બની રડ્યા તો એ બુદ્ધિજીવી જજના વહેલા આંસુઓની એ ગદર્ભે મજાક કરી. એ પોતાને ન્યાયાધીશો કરતા પણ એક ડગલું ઉપર સમજે છે. આ ગદર્ભ શાહે બાપ જીંદગીમાં ખેતર જોયું નહિ હોય. અડધી રાતે પાણી વાળવા ખેતરમાં ગયો નહિ હોય. ઘઉંના ખેતરમાં રાતે અંધારામાં એક પાળિયામાંથી મોટીમસ નીકમાંથી બીજા પાળિયામાં પાણી કેમ વાળવું તે એને ખબર નહિ હોય. કમરના મણકા તૂટી જાય એટલી ઝડપે પાવડામાં ભીની માટી ઉલેચવી પડે તે આ ગદર્ભને ખબર નહિ હોય. ખભે ફાંટયુ વાળી બરડા પાછળ સાહિત્યના સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતના ગૌરવ શ્રી રઘુવીર ચૌધરીની જેમ એરંડાની માળો ભેગી નહિ કરી હોય. કચરા શંકરજી ની જેમ એક હાથે ગાજરનું પળુલ પકડી એક હાથમાં ટૂંકા હાથાવાળી કોદાળીથી વાંકી કેડે ગાજર નહિ ગોડ્યા હોય. ૧૫ લીટર પાણી સાથે દવા મેળવી ખભે પંપ ભરાવી બેચાર વીઘાં કપાસમાં દવા છાંટી નહિ હોય. ખેર આવું તો ઘણું બધું છે જે એણે કર્યું તો નહિ હોય પણ જોયું નહિ હોય અને વિચાર્યું પણ નહિ હોય. એ ખરોત્તમને ખબર નથી કે ભારત એ અમેરિકા કે ઇઝરાયેલ નથી, હજુ તેવા વિકસિત દેશોની જેમ ખેતી કરવી અશક્ય છે, અને આજ સુધીની તમામ સરકારો ખેતી કે ખેડૂતો તરફી નહિ પણ લુચ્ચા ઉદ્યોગપતિઓ તરફી જ આવી છે.

રાજા જનમેજય બોલ્યા, ‘ જવા દો મહામુની આવા જંતુઓ જમ્બુદ્વિપમાં અતિશય છે. બની બેઠેલાં લેખકો વગર અનુભવે દીધે રાખતા હોય છે.’

‘અરે ! રઘુવીર ચૌધરી જેવા જ્ઞાનપીઠ વિજેતા ખેડૂતના દીકરા લેખક ખેડૂતોને ઠપકો આપે તો વાજબી કહેવાય પણ જેણે જિંદગીમાં ખેતર સુદ્ધાં જોયું ના હોય તેવા મહિષી ખેડૂતોને ઉપદેશ આપે તો ગુસ્સો ના આવે તો શું આવે? ૧૯૯૫ થી આજ સુધીમાં આશરે ૩ લાખ ખેડૂતોએ ભારતમાં આપઘાત કર્યા છે. આપઘાત કોણ કરે ? કોઈને શોખ થતો હશે આપઘાત કરવાનો? આ ડફોળ લેખકે ગમે તેટલા પુસ્તકો લખ્યાં હોય, લેખો લખ્યાં હોય એનાથી એ કોઈ સર્વજ્ઞ તો થઈ જતો નથી.’ મુનિ બોલ્યા.

હવે રાજા જનમેજય બોલ્યા, ‘મુનિશ્રી આપે કહ્યું તેમ ૧૯૯૫ થી આજ સુધીમાં આશરે ૩ લાખ ખેડૂતોએ આપઘાત કર્યા તેવો સરકારી ક્રાઈમ બ્રાન્ચનો રીપોર્ટ છે. એનો મતલબ એ થાય કે મહેન્દ્ર મુખીની જ સરકારમાં આપઘાત થયા છે તેવું તો છે નહિ. કારણ મહેન્દ્ર મુખી તો હમણાં વરસ દાડે થી જ સરકારમાં આવ્યા છે. મતલબ અગાઉની સરકારોએ પણ ખેડૂતોને રાહત થાય ફાયદો થાય તેવી નીતિઓ અપનાવી નથી.’

મુનિશ્રી જવાબમાં બોલ્યા મારું એજ કહેવું છે. બીજી સરકારોના સમયમાં આપઘાત થતા જ હતા ત્યારે આ મૂરખ કશું લખતો નહોતો પણ આ વરસના આપઘાતના આંકડા આવ્યા એટલે એણે તરત મહેન્દ્ર મુખીની સરકાર સામે જોખમ લાગવા માંડ્યું અને આ પાકા ભગતે તરત જે પાંચ સાત હજાર ખેડૂતોએ આપઘાત કર્યા હશે તેની મજાક ઉડાડતા લેખ લખી નાખ્યો.

રાજન જનમેજયને લાગ્યું આજે વૈષમપાયણ મુનિ ગુસ્સામાં છે બહુ બેસી રહેવામાં સાર નથી. એના કરતા કોઈ બહાનું કાઢી છટકી જવું સારું. એટલે રાજા જનમેજયે ખીસામાંથી આઈફોન કાઢી થોડીવાર ફંફોસ્યો અને મુનિને કહ્યું મહારાજ એક જરૂરી ટેક્ષ્ટ મેસેજ આવ્યો છે મારે ત્વરિત પહોચવું પડશે કહી મુનિની રજા લઇ રાજન તરત રવાના થઈ ગયા.

પણ જતા જતા રસ્તામાં વિચારતા હતા કે મહામુનિ વૈષમપાયણની વાત તો સાલી સાચી ને તર્કબદ્ધ છે.     images

 

 

 

 

 

દાદરો બનીને ઊભા દુનિયામાં

દાદરો બનીને ઊભા દુનિયામાં

‘અમે દાદરો બનીને ઊભા દુનિયામાં ચડનારા કોઈ નો રે મળ્યા.’IMG_6290

દુલા ભાયા કાગ બાપુની આ પંક્તિ છે. આખું ગીત તમે કોઈ પહાડી અવાજ ધરાવતા અને ગાળામાં ચારણી હલક ધરાવતા ગાયકના મુખે સાંભળો તો બહુ મજા આવે. થોડા દિવસ પહેલા ન્યુ જર્સી ગયેલો ત્યારે મને આ સાંભળવાનો લહાવો મળ્યો હતો, અને તે પણ ગુજરાતી લિટરરી અકાદમી નોર્થ અમેરિકાના પ્રમુખ શ્રી. રામભાઈ ગઢવીનાં મુખે થી..

અકાદમીના ઉપક્રમે પ્રોગ્રામ હતો દુહાઓ વિષે રસપ્રદ માહિતી પીરસવાનો. વક્તા હતા ડૉ. બળવંત જાની. અને દુહા ગાઈને સંભળાવવાનું કામ અકાદમીના પ્રમુખ રામભાઈ કરવાના હતા તો થોડા દુહા પાર્થ નામના યુવાને પણ બહુ સરસ રીતે સંભળાવ્યા. દુહા, દુહો, દોહરો કહીએ તેનો ઇતિહાસ ૮૦૦-૯૦૦ વર્ષ જુનો છે. બલવંત ભાઈએ ચારણી સાહિત્ય, લોકસાહિત્ય ઉપર ખુબ કામ કર્યું છે. એમણે સંત સાહિત્ય સાથે ખોજા સાહિત્ય ઉપર પણ ખુબ કામ કર્યું છે. સંતોએ રચેલા ભજનોને તો આપણે સાહિત્યમાં ગણતા નથી. એમના કહેવા મુજબ એમણે દસ હજાર ભજનોનું સંકલન કર્યું છે. અને દુહાઓ તો ૫૦,૦૦૦ હશે. લગભગ ૧૫૦ વિદ્વાનોએ લોકસાહિત્ય, ચારણી સાહિત્ય અને દુહાઓ વિષે સંશોધનાત્મક કામ કરેલું છે. દુહા પહેલા પ્રાકૃત ભાષામાં લખાતા હતા. દુહા એટલા જુના છે. દુહા એટલે બે લીટીની કવિતા કહીએ તો પણ ચાલે. કોઈ ગદ્યકારને એની વાત કહેવા ૨-૩હજાર શબ્દોની જરૂર પડે ત્યાં કવિ એજ વાત થોડીક પંક્તિઓમાં કવિતા રૂપે કહી દેતો હોય છે, ત્યાં દુહો રચનાર ફક્ત બે લીટીમાં તે વાત કહી દેતો હોય છે. આ બે લીટીની કવિતા જનોઈવઢ ઘા જેવી હોય છે, સમજ પડે ત્યાં તો દિમાગ અને દિલના ફુરચા નીકળી ગયા હોય.

હજારો દુહાઓના રચયિતાનાં નામ જ જડતા નથી. લોકમુખે પેઢી દર પેઢી આવા અનામી રચનાકારનાં દુહાઓ હજુ જીવંત છે. તો બારમી સદીના ઇસરદાન નામના કવિએ હજારો દુહાઓ રચ્યા છે જે કદી ભેટ સોગાદ લેતા નહોતા. ગુજરાતીમાં મેઘાણી સાહેબે ચારણી સાહિત્ય, લોકવાર્તાઓ, લોકગીતો અને દુહાઓ વિષે અદ્ભુત કામ કરેલું છે. એમને કોઈ લેખ સંદર્ભે દુહાઓની જરૂર પડતાં કાગબાપુને કહ્યું હશે. દુલા ભાયા કાગે થોડા દુહા મોકલી આપ્યા શોધીને.. પણ મેઘાણી સાહેબને વધુ દુહા તે લેખ બાબતે જોઈતા હશે. તેમણે ફરમાયશ કરી હજુ વધુ દુહા મોકલી આપો. કાગબાપુએ જે યોગ્ય હતા તે મોકલી આપેલા બીજા લાવવા ક્યાંથી. એટલે એમણે જાતે રચીને મોકલી આપ્યા. પણ આ તો મેઘાણી હતા. એમણે વળતો જવાબ લખ્યો દુહા સારા રચાયા છે હજુ બીજા વધારે રચાય તો મોકલી આપશો.. દુહાની શૈલી પરથી મેઘાણી સાહેબને ખબર પડી ગઈ કે આ એમણે જાતે રચેલા છે. આવા કવિઓ હતા અને આવા એમના પારખુઓ પણ હતા.

IMG_6291દુહાઓમાં લાઘવ છે, તો મુલ્ય બોધ અને શૃંગાર સાથે સૌન્દર્યબોધ પણ છે. દુહાઓમાં કરુણ રસ પણ ભારોભાર ભરેલો હોય છે. એવા કરુણરસથી ભરેલા દુહા કોઈ પહાડી ગળું ધરાવતા ચારણ-ગઢવીના મુખેથી એક પછી એક સાંભળીએ તો લાગે જાણે હિમાલય રડી રહ્યો છે, અને એના આંસુની ધારા જાણે ગંગા જમુના બનીને વહી રહી છે. ચારણના ગાળાની હલક કોઈ સ્પેશલ જિનેટિક મ્યુટેશન હોય એવું લાગે છે. અને એવી હલક કોઈ વેલજીભાઈ ગજ્જર અને પ્રફુલ્લ દવે જેવાના ગાળામાં કુદરતી આવી જાય ત્યારે ઓર રંગ જમાવતી હોય છે.

દુહામાં રામાયણ રચાણી છે તો દુહામાં મહાભારત પણ રચાયેલું છે. અરે દુહામાં વ્યાકરણ પણ રચેલું છે. દુહા કઈ રીતે રચવા, એનું બંધારણ કેવું હોવું જોઈએ તે પણ દુહામાં જ રચીને સમજાવેલું છે. દુહા સામસામે સવાલ જવાબ રૂપે પણ રચાતા. રાજદરબારમાં ડાયરો જામ્યો હોય ત્યારે સામસામે દુહાની રમઝટ બોલાતી અને એમાં ત્રણ ત્રણ દિવસ વીતી ગયા હોય તેવું પણ બનેલું છે. દુહાઓ વિષે અદ્ભુત માહિતી બળવંતભાઈ આપે જતા હતા અને વચમાં વચમાં રામભાઈ દુહા ગાઈ સંભળાવતા હતા. તો થોડા દુહા પાર્થ નામના યુવાને પણ ગાઈ સંભળાવ્યા. રામભાઈએ એક ગીત બહુ સરસ સંભળાવ્યું. ભાવાર્થ એવો હતો કે દાદા એમની ભરયુવાન પૌત્રીને વર કેવો જોઈએ તે વિષે પૂછે છે. એમાં થોડી રમૂજ પણ હતી. દીકરી કહે છે દાદા ઉંચો વર નો જોતા નિત નેવાં ભાંગશે. જુના જમાનામાં નળિયાવાળા ઘર એટલે એવું કહેવાયું અને નીચો વર પણ નો જોતા નિત ઠેબે ચડશે. વર જોવો હોય તો કેડે પાતળિયો ને મારી સખીઓ વખાણે તેવો જોજો. મતલબ તે વખતે પણ સિક્સ પેક નું મહત્વ હતું. મેં પણ વર્ષો સુધી કસરત કરીને સિક્સ પેક સાચવી કમર ૨૮-૨૯ થી કદી વધવા નહોતી દીધી. પણ હવે હર્નિયાનું ઓપરેશન થયા પછી કસરત થતી નથી એમાં સીધી ૩૪ થઇ ગઈ છે.

કાગબાપુનું અમે દાદરો બની ઉભા ગીત પણ રામભાઈએ સરસ ગાયું. દાદરો બની દુનિયામાં ઉભા પણ ચડનારા કોઈ નો મળ્યા. પછી એમાં રોટલાની વાત છે કે ખેતરમાં ડુન્ડું હોય તે કપાય, ખળામાં પહેલાં બળદના પગ નીચે કચરાતું, હવે થ્રેસરમાં કચરાય છે. પછી ઘંટીમાં વળી પાછું પીસાય, પછી રોટલા ઘડાનારીના હાથે મસળાય, પછી કલેડીમાં નીચે અગ્નિ હોય ને શેકાય પછી થાળીમાં પીરસાય પણ જમનારા કોઈ નો મળે તો? દાદરો બનવું પણ સહેલું નથી. કપાય, સુકાય અને ખુબ ખુબ છોલાય ખીલા ઠોકાય પછી દાદરો બને છે. ગુજરાતી સાહિત્યમાં ડૉ બળવંત જાની અને રામભાઈ જેવા દાદરો બનીને ઉભા છે, એક ગુજરાતમાં અને એક અમેરિકામાં..

શ્રી. રામભાઈને ૭૫ વર્ષ થયા, એની ખુશીમાં સ્ટેજ ઉપર કેક કાપીને નાનકડો ઉત્સવ ઉજવવામાં આવ્યો. મારે પણ એવી જ એક બર્થડે પાર્ટીમાં જવાનું હતું એટલે બાકીનો ગાયનવાદન પ્રોગ્રામ પડતો મુકીને પરમ મિત્ર દિલીપ ભટ્ટની સરસ આદુવાળી ચા પી હું પણ ભાગ્યો..  IMG_6296

દૂધપાકની બૉન

દૂધપાકની બૉન

અમારા સમિતપોઈન્ટનાં ચર્ચા ચોરે આખા ગામની પંચાત થાય. રિટાયર્ડ માણસો બીજું કરે પણ શું? હું સવારે કામ પર જાઉં તો સાંજે ચોરે જઈ બેસું અને સાંજે કામ પર જાઉં તો સવારે કુમળો તડકો ખાતા મિત્રો જોડે જઈ ગપાટા મારું. મિત્રો લખ્યું એટલે યાદ આવ્યું. અમારા એક મિત્ર ડૉ ભાનુભાઈ કહે આ વખતનું ફિજીક્સનું નોબેલ પ્રાઈઝ નરેનબાબુને મળશે, કારણ એમણે ગૉડ પાર્ટીકલ BOSON જેવો, એનો ભાઈ કહો તો ચાલે તેવો પાર્ટીકલ શોધી કાઢ્યો છે, મિત્રોન…. આ વાત ચર્ચા ચોરે કરતાં બધા ખુબ હસ્યા. નરેનબાબુને વાતે વાતે મિત્રો, ભાઈઓ ઔર બહેનો કહેવાની આદત છે. એમની સામે ફક્ત બેચાર જણા બેઠા હોય તો પણ ભાઈઓ ઔર બહેનો શબ્દ ટેવ મુજબ બોલાઈ જાય છે. પણ એક વાતની કદર કરવી પડે કે નરેનબાબુની બોલવામાં માસ્ટરી છે.

વિનુકાકા કહે, ‘આ વખતની બિહારની ચુંટણીમાં નેતાઓ એકબીજાને ભાંડવામાં સાવ નીચલા સ્તરે ઉતરી ગયા છે. અમિત શાહે લાલુને ચારા ચોર કહ્યા, તો લાલુએ અમિત શાહને હત્યારા કહ્યા.’

રમાબેન કહે, ‘પેલી દૂધપાકની બૉન ગાડીમાં બેઠી બેઠી કહે અમિત શાહે ગુજરાતમાં લાખો કરોડોની હત્યા કરાવી નાખી, અલી બૉન જરા માપમાં બોલતી હોય તો સારું લાગે. પછી એને જાતે જ લાગ્યું કે લાખો કરોડો વધારે કહેવાય પછી કહે હજારોની હત્યા.’

વિષ્ણુભાઈ કહે આ દૂધપાકની બૉન કોણ?

રમાબેન ઉવાચ, ‘અરે દૂધપાક અને રબડી ભાઈ બહેન કહેવાય કે નહિ?’

રબડી અને દૂધપાક બંને દૂધમાંથી જ પેદા થાય છે. રબડીદેવી એવું બોલેલા પણ ખરા કે લાખો કરોડોની હત્યા કરી નાખી. પછી સુધારેલું બીજા વાક્યમાં કે હજારોની હત્યા કરાવેલી. રબડી દેવી માટે દૂધપાકની બોન સંબોધન સાંભળી બધા એટલું હસ્યા કે વિનુકાકાને ઉધરસ ચડી ગઈ. આ તમાકુ-મસાલા મોઢામાં ભરી રાખતા હોય તેમણે હસવામાં કંટ્રોલ રાખવો પડે. તરત ઉધરસ ચડી જાય.

મેં કહ્યું, ‘મોદીએ લાલુને શેતાન કહ્યા તો એમણે મોદીને બ્રહ્મ-પિશાચ કહ્યા. આમ આ વખતે શબ્દયુદ્ધ બરાબર જામ્યું છે.’

વિષ્ણુભાઈ જરા સેન્સિટિવ માણસ છે. એમને આવું બધું દેશમાં ચાલે છે તે જોઈ બહુ દુઃખ થાય. તેઓ રિટાયર્ડ થઈને જ અમેરિકા આવ્યા છે. એમના દીકરા દીકરીઓ બધા અહિ છે. બહુ મોટી ઉંમરે આવેલાને દેશ બહુ યાદ આવે. આખો દિવસ ભારતીય ચેનલ્સ જ જોયા કરવી, ગુજરાતી ન્યુઝ પેપર્સ ઓનલાઈન જે મળે તે વાંચે રાખવા એવી આદત પડી જતી હોય છે. મોટી ઉંમરે અમેરિકા આવીને મનથી સેટ થવું અઘરું લાગે.

વિષ્ણુભાઈ કહે, ‘આ બીફ પ્રકરણ મારું દિયોર બહુ ચાલ્યું સઅઅ. બીફ ખાધું સ ક ઘરમાં રાખ્યું સઅ એવી અફવા ફેલઇ એક મૉણસની હત્યા કરી નૉખવામાં આયી; આ તો કૉય રીત સ? આ દેશ ચૉ જઈ રયૉ સ ખબર નઇ પડતી. અનઅ આ જોગટા મારા દિયોર સંસાર સોડી નાઠેલાનું સંસદમાં હું કૉમ સઅ? દીયોરો જીભડી કાબુમૉ રાખતા નહિ. હિંદુ અન મિયૉન લડઈ મારવાના ધંધા હોધી કાઢ્યા સ.’ વિષ્ણુભાઈ એમની મેહોણી તળપદીમાં બરોબર બગડ્યા.

વિનુકાકા કહે, ‘આ બાવાઓને ના તો વેદોનું જ્ઞાન છે, ના હિંદુ ધર્મનું. વગર વેદ વાંચે ઠોકે રાખે છે. વગર વેદ વાંચે વેદોના સંદર્ભ આપતા હોય છે. અજ્ઞાની પ્રજા એમનું કહ્યું સાચું માની લેતી હોય છે. સ્વામી વિવેકાનંદે એમના એક પુસ્તકમાં કબૂલ કરેલું છે કે પ્રાચીન હિંદુઓમાં બીફ નાં ખાય તે સાચો હિંદુ ના કહેવાય તેવું મનાતું હતું અને આ વાતનું આશ્ચર્ય ખુદ સ્વામી વિવેકાનંદને પણ હતું. ભલે તમે માંસ ખાઓ કે ના ખાઓ, બીફ ખાઓ કે ના ખાઓ આ બધી વાતો મહત્વની નથી. શું ખાવું તે દરેકની અંગત ચોઈસ છે. આપણે કોઈના ઉપર કઈ રીતે બળજબરી કરી શકીએ કે આ જ ખાઓ અને આ ના ખાઓ? આખી દુનિયા બીફ ખાય છે ત્યાં તો તમે રોકવા જવાના નથી ને? આખી દુનિયા પોર્ક ખાય છે ત્યાં તો તમે રોકવા જવાના નથી ને? હિંદુ-મુસલમાન બંને આ રીતે ખોટા છે. ધર્મ પણ અંગત બાબત હોવી જોઈએ, ધર્મ કોઈ જાહેર પ્રદર્શનની બાબત ના હોવી જોઈએ.’

આ વિનુકાકાએ ક્યારેય જીંદગીમાં ય ઈંડું પણ ખાધું નથી. પ્યોર શાકાહારી અને તમાકુ નામના પર્ણ આહારી. પણ એમના ઉમદા વિચારો જુઓ.

વિષ્ણુભાઈ કહે, ‘સાચી વાત છે. જેને જે ખાવું હોય તે ખાય. અને જેને જે માનવું હોય તે માને. આ રાઓલબાપુ ભગવાનમાં નથી માનતા આપણે કદી બળજબરી કરી કે ના ભગવાનમાં માનો જ?’

એમણે હસતાં હસતાં કહેલું તો મેં પણ હસતાં હસતાં જવાબ આપ્યો કે હું એમ કોઈનું કહ્યું માનું એવો છું ખરો? અને હું પણ ક્યાં તમારા પર બળજબરી કરું છું કે ભગવાનમાં માનશો નહિ. અરે મારા ઘરમાં જ નાનકડું મંદિર મારા વાઈફ લાવ્યા છે અને તે પણ મંદિર વેચવાનો બિઝનેસ કરતા બાપ્સની સંસ્થામાંથી. હવે મારા વાઈફ પોતે કોઈ સ્વામીનારાયણ સંપ્રદાયનાં ભક્ત નથી પણ એમના મંદિરમાં સ્વામીનારાયણનાં ફોટા વગેરે છે જે તેમણે ગાર્બેજ નથી કર્યા. મેં તો એના ફોટા જગજાહેર હું નાસ્તિક હોવા છતાં અને સ્વામીનારાયણ સંપ્રદાયનો સખત ટીકાકાર હોવા છતાં ફેસબુકમાં મુક્યા છે. મારો તો એક જ જગજાહેર સંદેશ છે કે મારી વાત સાંભળો પછી એના ઉપર વિચાર કરો પછી સમજો, સાચી લાગે તો માનો અથવા ફેંકી દો, જસ્ટ સ્ટાર્ટ થીંકીંગ. અરે વિચારવાની બારીઓ ખોલો તો પણ મારા માટે બહુ છે.’

વિષ્ણુભાઈ મૂળ રીટાયર માણસ આખો દિવસ કોમ્પ્યુટર અને ટીવી પર બેસી રહે. તો કહે, ‘આજે NDTV પર બરખા દત્તનો પ્રોગ્રામ જોયો. એમાં એ ચાપલીએ ભાજપનાં, સમાજવાદી પક્ષના, કોંગ્રેસનાં નેતાઓ અને થોડા પત્રકારો ભેગા કરેલા. મુર્ખીએ એમાં જસ્ટીસ કાત્જુને પણ બોલાવેલ. હવે મજા એ આવી કે બધા નેતાઓ એકબીજાને ટપલીદાવ મારતા હતાં પણ જેવા જસ્ટિસ કાત્જુએ કહ્યું કે આ બધા નેતાઓ રાસ્કલ છે અને આ બધાને બહુ પહેલા લટકાવી દેવા જોઈએ અને આ લોકોમાં દેશ માટે કોઈ પ્રેમ નથી તો બધા હરામખોરો જે એકબીજાના દુશ્મન હતા તે એક થઇ ગયા ને જસ્ટિસ કાત્જુ પર તૂટી પડ્યા.’

મેં કહ્યું, ‘જસ્ટિસ કાત્જુની અમુક બાબતોમાં ભલે આપણે સહમત હોઈએ કે ના હોઈએ, લોકો એમને ગાંડા ગણે કે ના ગણે પણ એમની વાતોમાં દમ હોય છે. અરે એક તો માણસ છે કે જે બેફામ બોલી શકે છે. સુપ્રીમ કોર્ટનો જસ્ટિસ અમસ્તો તો નહિ જ રહ્યો હોય ને?

રમાબેન બહુ સમય પછી બોલ્યા, ‘પેલા સમાચાર જોયા? એક દંપતી લગભગ નગ્ન હાલતમાં પોલીસ સાથે જપાજપી કરતુ હતું, એ શું હતું?’

વિનુકાકા કહે,, ‘દલિત દંપતી ફરિયાદ કરવા ગયેલું પણ પોલીસ ફરિયાદ લેતી નહોતી એટલે પછી તે લોકોએ જાતે જ નગ્ન થઈને પ્રોટેસ્ટ કરવાનો નવો રસ્તો અપનાવેલો. એમાં પછી એમનો બીજો પરિવાર પણ જોડાઈ ગયેલો. જો કે પેલી ફૂલનદેવીને ફેરવેલી એવું હજુ ય ઘણી જગ્યાએ બનતું જ હશે. હજુ આપણે મહાભારતના સમયથી આગળ ક્યા વધ્યા છીએ?

આમ અમારી ચર્ચાસભા કાયમ હસતી હસતી છૂટી પડતી પણ આજે બધાના મનમાં થોડો વિષાદ પણ હતો.

પાંદડું હોય કે માનવી ખરે પછી જ સડે

11267706_10205074809042573_1309709803_n

મિત્રો આપણે સ્કૂલમાં ભણતા ત્યારે ગુજરાતી વિષયમાં કોઈ પ્રખ્યાત લેખકની નવલકથાનું એકાદ પ્રકરણ હોય, કોઈ ટૂંકી વાર્તા કે કવિતા પાઠ રૂપે હોય. તે આપણે બધા ભણતા. લેખક તો જે કહેવા માગતાં હોય તે વાત જુદી છે પણ શિક્ષકશ્રી પોતાની માનસિકતા મુજબ એના અર્થ સમજાવતા. એનો એકાદ ફકરો કે અમુક પંક્તિઓ મુકીને પૂર્વાપર સંબંધ આપી સમજાવો તેવા પ્રશ્નો પરિક્ષામાં પુછાતાં.. સ્કૂલમાં હતો ત્યાં સુધી ગુજરાતીના વિષયમાં મારા સૌથી વધુ માર્ક્સ વર્ગમાં આવતા. પરીક્ષાના પરિણામો લઈ ક્લાસ ટીચર આવે અને કયા વિષયમાં કયા વિધાર્થીના હાઈએસ્ટ માર્ક્સ આવ્યા તે સૌથી પહેલા જણાવતા. ગુજરાતી અને ઈતિહાસ વિષય આવે એટલે શિક્ષક બોલે તે પહેલા બીજા મિત્રો રાઓલ રાઓલ એમ બોલી ઉઠતા.

 

 

આજે ફરી તે દિવસો યાદ આવ્યા છે. ચાલો આપણે સહુ સ્કૂલનાં દિવસો ફરી પાછા માણીએ.

ઉપર આપણા ગુજરાતના બહુ સારા ચિંતક ગણાતા પદ્મશ્રી એવોર્ડ મેળવનાર લેખક શ્રી ગુણવંત શાહની રચના છે. એના ઉપર વિથ રીસ્પેક્ટ ટિપ્પણી કરવી છે. ટિપ્પણી એટલે નકારાત્મક ટીકાનાં અર્થમાં લેવું નહિ. કારણ ટીકા એટલે આપણે નકારાત્મક જે તે વિષયનો વિરોધ જ સમજી બેઠાં છીએ. ટીકા કે ટીપ્પણી નો અર્થ એવો થાય કે લેખક જે સમજતા હોય, મારી સમજ પ્રમાણે અર્થ આવો છે. એમાં લેખકનાં અર્થ સાથે સહમતી પણ હોય અને અસહમતી પણ હોઈ શકે. લેખકના અમુક અર્થ સાથે સહમતી સાથે અમુક અર્થ સાથે અસહમતી પણ હોઈ શકે. ચાલો હવે ઉપરની રચના માટે મારી ટીપ્પણી.

“પાંદડું ખરી પડે પછી સડે છે,

પુષ્પ ખરી પડે પછી સડે છે.”

બરોબર છે. ખરી પડવું મતલબ મૃત્યુ. પાંદડું અને પુષ્પ ખરી પડે મતલબ એના મૂળિયાથી જુદા પડ્યા અને ખરી પડ્યા મતલબ હવે એમનો જીવનકાળ પૂરો થયો પછી કુદરતના રીવાજ મુજબ સડી જઈને રિસાયકલ થઈ જવાનું મતલબ પંચમહાભૂતમાં મળી જવાનું. દરેક વસ્તુ રિસાયકલ થઈ જાય તે કુદરતની મહત્વની પ્રક્રિયા છે. કોઈ વહેલી થાય કોઈ મોડી પણ રિસાયકલ તો થઈ જ જાય. ફન્ગાઈ જેને આપણે ફૂગ કહીએ છીએ તે ઝાડપાન, લાકડાનું રિસાયકલ કરી નાખે છે. જીવજંતુ, પ્રાણીઓ એમાં મનુષ્યો પણ આવી જાય તેમના મૃતદેહમાં કીડા પડી સડી જાય છે અને તેનું રિસાયકલ થઇ જાય છે. મતલબ મૃત્યુ પછીની પ્રક્રિયા છે સડવાનું. આપણે મનુષ્યોએ આપણા મૃતદેહોની નિકાલ વ્યવસ્થા શોધી કાઢી છે. માટે સડવાની પ્રક્રિયા દેખાતી નથી. છતાં કોઈ કારણસર લાશ પડી રહે તો એમાં કીડા પડી જાય છે તે હકીકત છે.

“માણસ સડી જાય પછી ખરે છે આવું શા માટે?”

આમ તો ખોટી વાત છે. માણસ પણ ખરી જાય, મૃત્યુ પામે પછી જ સડે છે, જો તમે બાળો કે દાટો નહિ તો. જો કે દાટો ત્યારે સડે જ છે પણ જમીનની અંદર હોવાથી દેખાય નહિ તે વાત જુદી છે. કદાચ શાહ સાહેબે ભાવનાત્મક રીતે લખ્યું હશે કે માણસ મનથી સડી જાય પછી ખરે છે. બાકી પુષ્પ, પાંદડું અને માનવી બધા પહેલા કમજોર પડે છે, કરમાઈ જાય છે. માનવી વૃદ્ધ બને છે તે પણ કરમાઈ જાય છે. પછી બધા ખરી પડે છે અને પછી સડી જઈને રિસાયકલ થઇ જાય છે. માનવી વૃદ્ધ બનતા મનથી કમજોર પડી જાય, શરીરથી કમજોર પડી જાય તેમ પુષ્પ અને પાંદડું પણ કમજોર પડે જ છે. રમણ પાઠક જેવા માનવીઓ મનથી પણ કદી કમજોર પડતા નથી. ઘણીવાર સારા વિદ્વાન લેખકો સારા Quote કોટ લખવાની લ્હાયમાં અવાસ્તવિક વાતો લખી નાખતા હોઈ શકે છે. માનસિક રીતે સડેલો માનવી તો જુવાનીથી જ સડેલો હોય છે. ઘરડો થાય પછી સડે તે વાતમાં માલ નથી. અને શારીરિક રીતે માનવી ઘરડો થાય એટલે કમજોર પડે પણ સડવાની પ્રક્રિયા તો મૃત્યુ પછી જ જૈવિક રીતે થાય. એટલે માણસ સડી જાય પછી ખરે છે તેવું નથી હોતું માણસ પણ પાંદડાંની જેમ ખરી પડે પછી જ સડતો હોય છે.

“હે પ્રભુ !

સ્વજનો મારી દયા ખાય તે પહેલાં તું મારી એક દયા કરજે. જીવનને સમજવામાં હું ભલે મોડો પડ્યો પરંતુ મૃત્યુને પામવામાં મોડો ન પડું એટલી કૃપા કરજે.”

સ્વજનોનું એક કામ તો મુખ્ય જ હોય છે કે આપણી દયા ખાવી. એટલે એ બધી ચિંતા કરી શું કામ દુબળા થવું? જીવન બહુ જટિલ વસ્તુ છે. આપણા બ્રેન બહારની અમુક બાબતો હોય છે. એટલે જીવનને સમજવામાં મોડા પડવું તે સ્વાભાવિક છે. ભલા ભલા કહેવાતા જ્ઞાનીઓ જીવનના ચક્કરને સમજી શકતા નથી. ભલે મોડા પડ્યા, સમજ્યા છો એવું લાગતું હોય તો પણ બહુ કહેવાય. અને મૃત્યુ તો એના સમયે જ આવશે. એક બહુ મહત્વની વાત છે હું તો નાસ્તિક છું પ્રભુ વગેરેમાં માનતો નથી પણ તમે માનતા હો તો પ્રભુ જો ખરેખર એના ગુણોમાં અસ્તિત્વ ધરાવતો હોય તો તે કદી કોઈના ઉપર કૃપા કરે નહિ, ક્રુરતા પણ કરે નહિ. પ્રભુ નાં તો દયાળુ છે નાં ક્રૂર છે. પ્રભુ મારી ફેવર કરે અને મારી ફેવર કરવા જતા તમારી ફેવર નાં કરે તો તે પ્રભુની વ્યાખ્યામાં આવે જ નહિ. આવો પ્રભુ મને તો માન્ય નથી. એટલે શાહ સાહેબ તમારો પ્રભુ તમારી મદદમાં આવવાનો નથી કે કૃપા કરવાનો નથી.

જેમ ઉંમર થવા લાગે તેમ મોત પ્રત્યે જાગૃતિ વધતી જતી હોય છે. બક્ષીબાબુ પણ પાછલી અવસ્થામાં મોત વિષે ખૂબ લખ્યા કરતા હતા. કારણ હવે આગળ કોઈ ભવિષ્ય બચ્યું નથી, સિવાય મોત. તો લખો પછી મોત વિષે. ઘણા આખી જીંદગી નાસ્તિક રહેલા મિત્રો પણ વૃદ્ધાવસ્થામાં આગળ મોત દેખાય એટલે આસ્તિક બની જતા હોય છે. ગરુડે ચડેલો ભગવાન દેખાતો હોય છે. ભક્તિભાવ, ધ્યાન, યોગ સાધનામાં પડી જતા હોય છે.

સૌથી મોટો જો કોઈ ભય હોય તો તે મોતનો છે. એ ભય દૂર કરવા અથવા મોતને જસ્ટીફાઈ કરવા ગીતા વાંચવાનું શરુ થાય છે. नैनं छिन्दन्ति शस्त्राणि રટવાનું શરુ થાય છે. એક આશ્વાસન કે મારો આત્મા તો મરવાનો નથી, ખાલી વસ્ત્રોની જેમ શરીર બદલવાનું છે. મર્યા પછી શું થાય છે કોઈને ખબર નથી.

“સાંજ પડે સૂરજ આથમી જાય તેમ આથમી જવા ઈચ્છું છું. હું સડી જાઉં તે પહેલાં ખરી પડવા ઈચ્છું છું.”

આમાં કાઈ નવું નથી. સૂરજ આથમે છે તેમ બધાં આથમે જ છે. કહીએ કે ના કહીએ. સડવાને જો કમજોર પડવું કહેતા હોવ તો તે તમે પડી ચૂક્યા છો કારણ મોતની વાતો કરવા માંડ્યા છો.

મિત્રો પદ્મશ્રી ગુણવંત શાહને મેં ખૂબ વાંચ્યા છે. એમની ‘વિચારોના વૃન્દાવનમાં’ મારી પ્રિય કોલમ હતી. હવે તો એમનો ઉલ્લેખ નાં હોય છતાં એમનું લખાણ વાંચું એટલે ખબર પડી જાય કે આ શાહ સાહેબે જ લખેલું છે. ઘણા એમને સાહિત્યકાર માનવા તૈયાર નથી. કોલમિસ્ટ કે સ્તંભ લેખક તરીકે જ માને છે. ગુજરાતી સાહિત્ય સભા દ્વારા સ્થાપિત અને ગુજરાતી સાહિત્યમાં સૌથી ઉચ્ચ ગણાતો રણજીતરામ સુવર્ણ ચંદ્રક તેઓને ૧૯૯૭માં મળ્યો હતો. મને એમની આત્મકથા ‘બિલ્લો ટિલ્લો ટચ’ બહુ ગમી હતી. જોકે બહું વહેલી લખી નાખી હોય તેવું લાગ્યું હતું.  A1U1E7WLk8L

 

 

જ્ઞાનને શુદ્ધ જ્ઞાન રાખો એને ધર્મના લેબલની જરૂર નથી. (યોગા)

800px-Bhujangasana_Yoga-Asana_Nina-Melજ્ઞાનને શુદ્ધ જ્ઞાન રાખો એને ધર્મના લેબલની જરૂર નથી. (યોગા)

The US Patent and Trademark office has reportedly issued 150 yoga-related copyrights, 134 trademarks on yoga accessories and 2,315 yoga trademarks.

સૌથી વધુ યોગની પ્રેક્ટીશ કરતા હોય તો તે અમેરિકનો છે એવું મારું માનવું છે. એમને તે વાત જરાય નડતી નથી કે યોગની વ્યવસ્થિતપણે શોધ ભારતીયોએ કરેલી છે, અને તે ભારતીયો હિંદુ વિચારધારાને વરેલા હતાં. યોગ હિંદુ ફીલોસફીની છ મુખ્ય સ્કૂલ્સ માની એક સ્કૂલ છે. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મિમાંસા અને ઉત્તર મિમાંસા આમ છ હિંદુ તત્વજ્ઞાનની મુખ્ય શાખાઓ છે. સમજી લો કે ઉત્તર મિમાંસાથી ઈશ્વરભાઈ નામનો કોન્સેપ્ટ ઘૂસેલો છે. સાંખ્ય તદ્દન નિરીશ્વરવાદી હતું અને યોગ એની સાથે બહુ નજદીક હતો. એમાં જે પણ ઈશ્વર ઘુસ્યો હશે તે બહુ પાછળથી. મુર્ખ મુસલમાનો સાથે અજ્ઞાન હિન્દુઓને પણ ખબર નથી કે ભારતીય ફીલોસફીની છ સ્કૂલ્સમાં ઈશ્વર છેલ્લે ઘૂસેલો છે. યુજ ધાતુ પરથી યોગ શબ્દ બનેલો છે. યોગ મતલબ જોડવું. શરીર અને મન સાથે અદભુત જોડાણ કરવું અથવા તે જોડાણને સમજવું અને અમુક ક્રિયાઓ કરીને તે જોડાણ ને અદ્ભુત બનાવવું જેથી સર્વાઈવલ ઓફ ફીટેસ્ટનાં જમાનામાં સર્વાઈવ વધુ સારી રીતે થઈ જવાય તે પ્રક્રિયાને યોગ કહેવાય છે.

આધુનિક મેડીકલ સાયન્સની જેમ યોગ એક શુદ્ધ જ્ઞાન છે તેને ધર્મોના લેબલની જરાય જરૂર નથી તે પાપી પશ્ચિમના ક્રિશ્ચિયન લોકો ફનેટીક મુસલમાનો કરતા વધુ સારી રીતે જાણે છે, માટે આજે યોગ વિષય ૧૫૦ પેટન્ટ અમેરિકનો ધરાવે છે.

કેટલા હિન્દુઓને ખબર હશે કે યોગના આઠ અંગ છે? કે આઠ પ્રકરણ છે? કે યોગ નામની સીડીને આઠ પગથિયાં છે? હરિયાણાની ભાજપા સરકારના યોગના બ્રાંડ એમ્બેસેડર, યોગના વેપારી ગુરુ બાબા રામદેવ યોગની આઠ પગથીયાની સીડીના ફક્ત બે પગથિયાં આસન અને પ્રાણાયામ વિષે તમને માહિતી આપે છે. ફક્ત બે પગથિયાં જો આટલા લાભદાયી હોય તો આઠ પગથિયાં ચડીને ક્યાં પહોંચી જવાય?

યોગના આઠ અંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ.

બાબા રામદેવ પ્રાણાયામ અને આસનો જ શીખવાડે છે બાકી બીજા તેઓ અંગો વિષે તેઓ જાણતા જ હોય પણ સામાન્યજનને શીખવવાનું મુનાસીબ નહિ સમજતા હોય. કે એમાંથી અર્થોપાજન થાય તેવું લાગતું નહિ હોય.

યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર દ્વારા મદદ મળતા ધારણા, ધ્યાન અને સમાધિના પગથિયાં આસાનીથી ચડી શકાય.

પ્રાણાયામ શ્વાસોચ્છવાસની અદ્ભુત ટેકનીક છે. ઓક્સિજન વગર તો મુસલમાન પણ નહિ જીવી શકે અને પ્રાણાયામ ટેક્નિક ઓક્સિજન વધુમાં વધુ લેવાની ટેક્નિક છે. માછલી, કાચબો, ગાય, ભેંસ, ડુક્કર, હાથી કે માનવી, મુસલમાન કે હિંદુ, ખ્રિસ્તી કે પારસી, બૌદ્ધ કે જૈન, કે કોઈપણ હોય પાણીમાં તરતી વખતે ઓટ્મેટિક પ્લાવની પ્રાણાયામ કરે જ છે. તેમ જ લાંબુ દોડવાથી ઓટ્મેટિક ભસ્ત્રિકા પ્રાણાયામ થઈ જાય છે, ત્યારે કોઈ મુસલમાન એમ કહી નહિ શકે કે હું ભસ્ત્રિકા નહિ કરું કે સ્વિમિંગ પુલમાં પ્લાવની નહિ કરું, કારણ કોઈ હિન્દુએ પ્રાણાયામનાં વિવિધ નામ આપ્યા છે. ન્યુટને ગુરુત્વાકર્ષણ વિષે સમજ આપી તે પહેલા શું ગુરુત્વાકર્ષણ નહોતું? પતંજલિએ યોગ સુત્રો રચ્યા તે પહેલા શું યોગા નહોતો? અરે યોગા તો પ્રાણીઓ પણ કરે જ છે. સાપ કરે છે સ્ટાઈલને તો ભુજંગાસન નામ આપ્યું છે. એટલું કે એમને એના વિષે કોઈ વ્યવસ્થિત સમજ નથી.

આસનો સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ છે. હવે એને પશ્ચિમની સ્ટાઈલથી કરો કે ભારતીય સ્ટાઈલ કે ચાઇનીઝ સ્ટાઈલથી કરો શું ફરક પડે છે?

ચાઇનીઝ શાઓલીન, કુંગ ફૂ, કે જાપાનીઝ કરાટે હોય કે બીજા કોઈ પણ દેશની માર્શલ આર્ટ હોય યોગના આઠે આઠ અંગનું આક્રમક રૂપ છે. એમાં યમ છે નિયમ છે આસન છે પ્રાણાયામ છે અને ધ્યાન પણ છે સાથે સાથે સ્વબચાવ માટે આક્રમક રવૈયો એ લોકોએ ઉમેરેલો છે. અહિ આપણે ભારતીયોની ચૂક થઇ ગઈ આપણે સ્વબચાવ માટેનો આક્રમક રવૈયો યોગમાં ઉમેર્યો નહિ અને હશે તો  કાઢી નાખ્યો અને હજારો વર્ષ ગુલામ રહ્યા. આપણે યોગ સાથે ભક્તિ(સબમીશન) અપનાવી, ભક્તિ પાછળથી આવી, અને જે પણ આક્રમણકારીઓ આવ્યા શરણે થઇ ગયા. હજુ પણ શરણે થઇ જવાની ભાવના અકબંધ જ છે. ભક્તિ નબળા લોકોની માનસિકતા છે.

યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો છે.

યોગા પ્રાચીન ભારતે દુનિયાને આપેલી મહામૂલી ભેંટ છે. જેમ આધુનિક મેડીકલ સાયન્સનો વિકાસ ભલે યુરોપ અને ક્રિશ્ચિયાનિટીને હસ્તે થયો પણ આજે આખી દુનિયા એને કોઈ ધર્મના લેબલ લગાવ્યા વગર વાપરે છે અને ક્રીશ્ચિયાનિટી વાપરવા દે છે તેમ યોગા પણ વાપરવો જોઈએ. બાકીની દુનિયાના લોકો તો યેનકેન પ્રકારે વાપરે જ છે.

હવે જેમ તાવ આવે ત્યારે કોઈ ડોક્ટર જોડે જઈએ, વૈદ્ય જોડે જઈએ કે હકીમ જોડે જઈએ તે આપણી ઈચ્છાનુસાર હોય છે તેવું યોગા વિષે પણ હોવું જોઈએ કોઈને ફરજ પાડી શકાય નહિ કે વૈદ્ય જોડે જ જાઓ કે હકીમ જોડે જાઓ કે ડોક્ટર જોડે જ જાઓ. Janusirsasana_Yoga-Asana_Nina-Mel

ચરૈવેતિ ચરૈવેતિ

ચરૈવેતિ ચરૈવેતિfaithful-feet-keep-walking-blog-pic

ઐતરેય બ્રાહ્મણ ગ્રંથમાં બહુ સરસ મંત્ર-ગીત છે.

ॐ नाना श्रान्ताय श्रीरस्ति, इति रोहित शुश्रुम।

पापो नृषद्वरो जन, इन्द्र इच्चरतः सखा। चरैवेति चरैवेति॥

पुष्पिण्यौ चरतो जंघे, भूष्णुरात्मा फलग्रहिः।

शेरेऽस्य सवेर् पाप्मानः श्रमेण प्रपथे हताः। चरैवेति चरैवेति॥

आस्ते भग आसीनस्य, ऊध्वर्स्तिष्ठति तिष्ठतः।

शेते निपद्यमानस्य, चराति चरतो भगः। चरैवेति चरैवेति॥

कलिः शयानो भवति, संजिहानस्तु द्वापरः।

उत्तिष्ठँस्त्रेताभवति, कृतं संपद्यते चरन्। चरैवेति चरैवेति॥

चरन् वै मधु विन्दति, चरन् स्वादुमुदुम्बरम्।

सूयर्स्य पश्य श्रेमाणं, यो न तन्द्रयते चरन्। चरैवेति चरैवेति॥

(ऐतरेय ब्राह्मण ७.१५)

આનો ભાવાર્થ એવો છે.

હે ! રોહિત સાંભળ, મેં એવું જાણ્યું છે કે થાક્યા વગર જે શ્રમ કરે છે તે શ્રીમુખી, બાકી કર્મરત નાં હોય તેવો શ્રેષ્ઠજન પણ દુઃખી. આ શ્રી શબ્દ સ્ત્રી વાચક છે. શ્રી નો અર્થ થાય લક્ષ્મી. અથવા લક્ષ્મીજીનું બીજું નામ શ્રી છે, માટે શ્રી મંજુલાબેન કે શ્રી સવિતાબેન લખીએ તે બરોબર છે પણ શ્રી મગનભાઈ કે શ્રી છગનભાઈ લખીએ તે ખરેખર ખોટું છે. શ્રી. મગનભાઈ લખીએ તો બરોબર છે. શ્રી પછી પૂર્ણવિરામ મૂકવું જરૂરી છે. એટલે જે થાક્યા વગર શ્રમ કરે તેની પાસે શ્રી હોય તે સ્વાભાવિક છે. નિત્ય ગતિશીલતા જ ઇન્દ્ર્કર્મ કહેવાય માટે ચાલતા રહો ચાલતા રહો. આ ઇન્દ્ર કદી પગ વાળીને બેઠાં નથી. કાયમ યુદ્ધોમાં જ રત રહેતા. ક્યારેક અસુરોને તે ભગાડતા તો ક્યારેક અસુરો એમને ભગાડતા.

જે હમેશાં ચાલતા રહે તેને ફળફળાદિ પ્રાપ્ત થતા રહે. એના ખરાબ કામ પણ શ્રમનાં પથ ઉપર નષ્ટ થઈ જાય. અહીં ખરાબ કામ એટલે નિષ્ફળતા સમજવું બહેતર છે. કારણ દરવખતે સફળતા મળે નહિ પણ જે હમેશાં ચાલતો રહે કામ કરતો રહે તેને મળતી નિષ્ફળતા છતાં પણ કર્મ કરતો રહે, શ્રમ કરતો રહે તો એક દિવસ સફળતા મળવાની જ છે. આ ચાલતા રહેવું મતલબ કાયમ બે પગે ચાલતા રહેવું તેવો સ્થૂળ અર્થ કરવા જેવો નથી. ચાલતા રહેવું મતલબ કર્મ કરતા રહેવું. કામ કરતા રહેવું.

આપણા બાવા સમાજે ઐતરેય બ્રાહ્મણ ગ્રંથના આ મહામૂલાં ગીતની બહુ મોટી અવહેલના કરી છે. ગીતાના કર્મણ્યે વાધિકારસ્તે નહિ પણ અકર્મણ્યે વાધિકારસ્તે એ લોકોએ અપનાવ્યું છે. આ બાવાઓ કોઈ કામ કરતા નથી. કોઈ શ્રમ કરતા નથી. કોઈ પ્રોડક્ટિવ કર્મ કરતા નથી. આલસ્યશિરોમણી છે આ બાવાઓ. એમને મોક્ષ મેળવવો છે અને એના બિલ પ્રજાને માથે મારે છે. વેદિક કાળમાં બાવા સમાજ હતો જ નહિ. ગુરુઓ પત્ની અને બાળબચ્ચાં વાળા જ હતા. અરે અમુક ગુરુઓ તો એક કરતા વધારે પત્નીઓ રાખતા હતા. જ્યારે તમામ રીતે રિટાયર થઈ જવાય ત્યારે જ સંન્યાસ લેવામાં આવતો. અને તે યોગ્ય જ હતું. અત્યારે તો નાની ઉંમરમાં સંન્યાસ લઈને અકુદરતી કાર્યો કરવામાં આવી રહ્યા છે.

મૂળ તો આ પાંચ શ્લોકના ગીતનો આ ત્રીજો શ્લોક જ વધુ પ્રખ્યાત છે. બેસી રહેનારનું ભાગ્ય બેસી રહે છે. ઊભા રહેનારનું ભાગ્ય ઊભું રહે છે, સૂઈ રહેનારનું ભાગ્ય સૂઈ રહે છે અને ચાલનારનું ભાગ્ય ચાલે છે. ભાગ્યવાદે આ દેશને બહુ મોટું નુકસાન કરેલું છે. ભાગ્યમાં જે હશે તે થશે તે માનસિકતા આ દેશના વિકાસ આડે બહુ મોટી દીવાલ બનીને ઊભી રહેલી છે. ભાગ્યમાં જે હશે તે થશે અને મળશે તે માનસિકતા એ દેશને આલસ્ય શિરોમણિ બનાવ્યો છે. કામ કરવાની ક્યાં જરૂર છે? ભાગ્યમાં જે હશે તે જ મળશે.

આ શ્લોક શું કહે છે તે જુઓ? ચાલનારનું ભાગ્ય ચાલે છે. જો તમે શ્રમ નહિ કરો, કર્મ નહિ કરો તો તારું ભાગ્ય પણ આરામ કરશે. સૂતેલાનું ભાગ્ય તો સૂઈ જ રહેવાનું છે તે સ્વાભાવિક છે. પણ અમુક લોકો એવા પણ હોય છે. ઊભા તો થઈ જાય છે પણ પછી આગળ ચાલતાં ગભરાતા હોય છે. કોઈ પણ નવી જગ્યાએ જાઓ એટલે મનમાં થોડો ડર તો લાગે જ. પરિચિત વસ્તુથી આપણને કોઈ જોખમ લાગે નહિ. એવું જ કર્મનું પણ છે. કોઈ નવું કર્મ કરવું હોય તો સફળતા મળશે કે અસફળતા શું ખબર? એટલે અસફલતાનો ડર લાગતો હોય છે અને અસફળતા નાં મળે માટે આપણે કોઈ નવું કર્મ શરુ કરતા ડરીએ છીએ અને ઊભા જ રહીએ છીએ એટલે ત્યાં આપણું ભાગ્ય પણ સ્થિર ઊભું જ રહેવાનું. ઘણીવાર તો આપણે ચાલીએ ખરા પણ ત્રણ રસ્તા જો આવી ગયા તો ખલાસ. હવે કઈ બાજુ જઈશું તો સફળતા મળશે, મંજિલ મળશે ખબર નથી. એટલે ત્રણ રસ્તે ઊભા થઈ જનારા માટે ગીતમાં સંશયાત્મા વિનશ્યતિ કહેલું છે. અરે ચાલો તો ખરા લાગે કે ખોટો રસ્તો છે, તો એક તો સમજ પડી જ ગઈ કે આ લીધેલો રસ્તો ખોટો જ છે. પણ ઊભા જ રહીશું ક્યારેય પહોચી નહિ શકીએ. માટે ચરૈવેતિ ચરૈવેતિ…

આ બાવાઓએ ભારતને એમના સ્વાર્થ માટે હમેશાં ખોટું શીખવ્યું છે માટે બાવામુક્ત ભારત મારું સપનું છે. આપણા અસલી સાહિત્યને પણ સાચી રીતે શીખવ્યું નથી.

સૂતેલી અવસ્થામાં કળિયુગ છે. બેસવાની અવસ્થામાં દ્વાપર છે, ઊભા થતાં ત્રેતાયુગ બને, અને ચાલતા સતયુગ સિદ્ધ થાય છે. એક બહુ મોટી ગલત ધારણા છે કે સારો યુગ સતયુગ પૂરો થઈ ગયો. પછી દ્વાપર અને ત્રેતા પુરા થઈને હવે ખરાબમાં ખરાબ કલિયુગ આવી ગયો છે. ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ જુઓ તો પહેલા માનવી આદિમાનવ હતો ત્યારે ક્યાં આટલી સગવડ હતી? સર્વાઈવ થવા હમેશાં લડ્યા કરવું પડતું. ગુફાઓમાં રહેવું પડતું. જંગલી પ્રાણીઓનો સતત ભય. તમને ખબર છે? તાજું જન્મેલું બાળક દર બે કલાકે જાગે છે અને રડે છે? બીજું તમને પોતાને અંદાજ નહિ હોય પણ આપણે પોતે દર બે કલાકે જાગતા હોઈએ છીએ. પડખું ફેરવીને ફરી સૂઈ જતા હોઈએ છીએ. જે આપણને સવારે લગભગ યાદ પણ હોતું નથી એવું લાગે કે મસ્ત આઠ કલાકની સળંગ ઊંઘ ખેંચી નાખી છે. દર બે કલાકે જાગવાનું આપણા DNA માં છે. જ્યારે આપણે ગુફાઓમાં રહેતા ત્યારની આદત છે. ચેક કરવા કે સલામત છીએ કે નહિ? કોઈ જંગલી પશુ આસપાસ આપણો શિકાર કરવા બેઠું તો નથી ને? દર બે કલાકે જાગીને ચેક કરવાથી સર્વાઈવલ રેટ ઊંચો જાય. આ ઇન્ફર્મેશન આપણા બાળકોને DNA દ્વારા ઓટ્મેટિક મળેલી હોય છે માટે તેઓ દર બે કલાકે જાગીને રડતા હોય છે. તે સમયે ૩૦-૩૫ વર્ષથી વધારે આયુષ્ય હતું નહિ. એવરિજ આયુષ્ય તો હમણાં વધ્યું છે. મેડિકલ સાયન્સના સતયુગ દ્વારા.

આપણે ત્યાં દેવપોઢી અને દેવઊઠી અગિયારસ વચ્ચે કોઈ સારા લગ્ન જેવા કામ થતા નહિ. હજુ મોટાભાગના લોકો તે પાળે છે. આ બે અગિયારસ વચ્ચે ભયંકર ચોમાસું હોય. નદીનાળાં ઊભરાતાં હોય. રસ્તાઓ કાદવ કીચડથી ભરેલા હોય. એવામાં લગ્ન જેવા પ્રસંગ ઊજવવા કેટલી તકલીફ? સગવડો ક્યાં હતી તે સમયે? તો ખરેખર સતયુગ તો અત્યારે છે. કે માનવીએ ચાલતા રહીને નવા કર્મ કરીને, રિસર્ચ કરીને, નવી નવી શોધો કરીને સતયુગ બનાવ્યો છે. માટે ચાલો તો સતયુગ બાકી ઊંઘો તો કલિયુગ જ છે. આપણે સતયુગ પૂરો થઈ ગયો છે સમજી ચાલવાનું બંધ કરી આળસુ બની ગયા અને પશ્ચિમના લોકો ચાલી ચાલીને સતયુગમાં સરી પડ્યા. સારું છે આપણને એમની નકલ કરવા દે છે, એમની શોધેલી વસ્તુઓ વાપરવા દે છે.

ચાલતાં ચાલતાં મધ મળે છે, ચાલતાં ચાલતાં સ્વાદિષ્ટ ઉમરાનું ફળ મળે છે. સૂર્યની શોભા જુઓ કે જે ચાલવામાં ક્યારેય આળસ કરતો નથી.

આ ચાલતાં ચાલતાં મધ મળે છે તે લખવાનું ખાસ કારણ છે. ઉમરાનું ફળ તો માનો બધા ફળોનું પ્રતીકાત્મક હોઈ શકે. ખેતી કરવાનું આશરે દસેક હજાર વર્ષથી શરુ થયું છે. તે પહેલા લાખો વર્ષ સુધી માનવીનો ખોરાક માંસ અને ફળફળાદિ રહેલો હતો. માંસમાં પ્રોટીન વધુ હોય શર્કરા એમાંથી બહુ મળે નહિ. આમ તો જરૂરી શર્કરા ફળોમાંથી મળી રહે. માનવી લાખો વર્ષ લગી પ્રોટીન વધુ લેતો અને મહેનત ખૂબ કરતો માટે પાતળો અને સપ્રમાણ રહેલો છે. ખેતી શરુ થઈ ઘઉં ચોખા જેવા અનાજ ખાવાનું વધુ શરુ થયું એમાં પ્રોટીન ઓછું અને શર્કરા વધુ હોય છે. એટલે ખેતી શરુ થઈ તે પહેલા શર્કરા માટે ફળો પર વધુ આધાર રાખતો. હવે ફળો પણ બારેમાસ મળે તેવું બને નહિ. દરેકની ખાસ સિઝન હોય, પછી મળે નહિ. એટલે માનવી માટે વધારાની શર્કરા મેળવવાનું સાધન હતું મધ. આજે પણ આદિમ અવસ્થામાં જીવતા હન્ટર-ગેધરર સમાજોનો અભ્યાસ કરતાં એવું જણાયું છે કે જે પુરુષ મધ મેળવવામાં ઍક્સ્પર્ટ હોય તેને સ્ત્રી પહેલો પસંદ કરે છે. મતલબ સ્ત્રી પામવા માટે મધ પાડવામાં કાબેલ હોવું એક વધારાની ક્વૉલિટી ગણાતી. મધ પાડવા સહેલા હોતા નથી. એક તો ઝાડ પર ઊંચે ચડવું પડે અને કાતિલ ડંખ મારતી મધમાખીઓને સહન કરવી પડે. સ્ત્રી એટલાં માટે આવા મધપાડું નિષ્ણાંતોને પહેલાં પસંદ કરતી કે તેમના બાળકોને મધ ખવડાવી વધારાની શર્કરા પૂરી પાડી શકે. માટે ચાલતાં ચાલતાં મધ મળે. મધ ઘરમાં બેસી રહેવાથી મળે નહિ. અને મધ ના મળે તો સ્ત્રી મળવાના ચાન્સ થોડા ઓછા થઈ જાય. સૂરજ મહારાજ વિષે તો સહુ જાણે છે સતત ચાલતાં જ રહે છે તે નાં ચાલે તો આપણું અસ્તિત્વ જ ક્યાંથી હોય?

untitledવૈજ્ઞાનિકો માને છે, અને એમને અમુક પુરાવા મળ્યા છે તે પ્રમાણે માનવી, કોઈ કૉમન પૂર્વજોમાં કોઈ જિનેટિક ફેરફાર થવાથી લાખો વર્ષ પહેલા ચિમ્પેન્ઝી જેવા કપિમાનવ કરતા થોડો જુદો ઉત્ક્રાંતિ પામ્યો. શરૂમાં લાખો વર્ષ વૃક્ષો ઉપર જ રહ્યો. આમ તો વૃક્ષ ઉપરથી નીચે ઊતરી પાછો ઉપર ચડી જતો હશે. આવું અર્ધ વાનર અર્ધ માનવ જેવું લગભગ ૩૦ લાખ વર્ષ જૂનું ફોસિલ આફ્રિકામાંથી મળેલું જ છે. પણ આવા આપણા પૂર્વજોનાં એકાદ જુથે પાછું વૃક્ષ પર રહેવા જવાના બદલે જમીન પર રહેવાનું નક્કી કર્યું હશે. પછી ખોરાક અને સલામત રહેઠાણની શોધમાં આગળ વધવાનું ચાલુ કર્યું હશે. ત્યારથી આ ચરૈવેતિ ચાલુ થયું છે. જો આપણા એ પૂર્વજો વૃક્ષ ઉપરથી હેઠાં ઊતર્યા જ નાં હોત તો આજે આપણે આફ્રિકામાં કોઈ ઝાડ ઉપર હુપાહુપ કરતા હોત.

વૈજ્ઞાનિકો માને છે કે શરૂઆતના હજારો વર્ષ દરમ્યાન માનવી દર વર્ષે આશરે એક માઈલ આગળ ધપ્યો છે. આમ તો ખોરાક અને શિકારની શોધમાં માનવી માઈલો સુધી રોજ દોડતો જ હતો. બીજા પ્રાણીઓ ભલે માનવી કરતા વધુ તેજ ગતિએ દોડતા હશે પણ સતત એકધારું લાંબું દોડવાની ક્ષમતામાં માનવી બહુ આગળ છે. શિકારી પ્રાણીઓ વાઘ, વરુ કે ચિત્તા ઝડપી ખરા પણ થોડા મીટર પછી એમની શક્તિ ખલાસ થઈ જાય. આમ માનવી રોજ માઈલો સુધી દોડતો હશે પણ પાછો ઘેર આવી જતો હશે. પણ વસવાટ માટે માનવી વર્ષે એક માઈલ આગળ વધ્યો છે તેવું વૈજ્ઞાનિકો માને છે. આમ આફ્રિકામાં ઉત્ક્રાંતિ પામેલો માનવી મિડલ ઇસ્ટ થઈ પહેલો ભારતમાં આવી ગયેલો અને સીધો દરિયા કિનારે કિનારે આફ્રિકા જેવું લગભગ હવામાન ધરાવતા દક્ષિણ ભારત પહોચી ગયેલો. ત્યાંથી પૂર્વોત્તર ભારત થઈ ઇન્ડોનેશિયા પહોંચી ગયેલો., અને ત્યાંથી પછી ઓસ્ટ્રેલીયા. બીજી કોઈ ટુકડી મધ્ય એશિયા થઈને યુરોપ પહોચી પણ ઓસ્ટ્રેલીયા કરતા માનવી યુરોપમાં બહુ મોડો પહોંચેલ.

માનવી વૃક્ષ પરથી હેઠે ઊતર્યા પછી સતત ચાલતો જ રહેલો છે. ચાલતા રહેવું આપણા DNA માં જ છે. આજે પણ જ્યારે કોઈ મૂરખ એવું કહે કે તમે પરદેશ કેમ ગયા છો? ત્યારે મને તેના અજ્ઞાન ઉપર દયા આવે છે. અરે મૂરખ તારા બાપદાદાએ ચાલતા રહેવાનું રાખ્યું જ નાં હોત તો તું હજુ આફ્રિકામાં કોઈ ઝાડ પર હુપાહુપ કરતો હોત.

નોંધ :- પ્યારા મિત્ર ડૉ હિતેશ મોઢાનો ખાસ આભાર માનવાનો કે જેઓએ ઉપરના ઐતરેય બ્રાહ્મણનાં શ્લોકનું સરળ ગુજરાતી ભાષાંતર ઉપલબ્ધ કરાવી આપ્યું.

 

 

 

 

પશ્ચિમના ડે અને તહેવારો પ્રત્યે કકળાટ શાને?

images65W0PFCT પશ્ચિમના ડે અને તહેવારો પ્રત્યે કકળાટ શાને?

મધર્સ ડે, ફાધર્સ ડે, વૅલન્ટાઇન ડે, ટીચર્સ ડે જેવા અનેક દિવસો પશ્ચિમના જગતમાં ઊજવાય છે, જે હવે ભારતમાં પણ ઉજવવાનું શરુ થઈ ગયું છે. પશ્ચિમના ક્રિસમસ જેવા તહેવારો પણ આપણે ઊજવવા લાગ્યા છીએ. દુનિયા હવે નાની થતી જાય છે. પહેલાં તો મુંબઈ કોઈ કમાવા જાય તો પણ વિદેશ ગયા હોય તેવું લાગે. મારું બચપણ વિજાપુરમાં બારોટવાસમાં ગુજરેલું. અમારા વિજાપુરના ઘણા બારોટો મુંબઈમાં ધંધોપાણી કરતા. વર્ષમાં એક વાર એકાદ મહિનો ઘેર આવતા. જાણે વિદેશથી કોઈ મહેમાન આવ્યા હોય તેવો એમનો ઠાઠમાઠ રહેતો. ટૂંકમાં મુંબઈ તે સમયે વિદેશ ગણાતું. પણ હવે સવારે મુંબઈ જઈ રાત્રે ઘેર આવવું હોય તો આવી જવાય. ટૂંકમાં દુનિયા હવે બહુ નાની થતી જાય છે. હું વિજાપુર રહેતો ત્યારે ભાદરવા મહિનામાં ગણેશ ચતુર્થી આવતી ત્યારે મારા મધર લાડુ બનાવતા. બાકી એનો કોઈ ઉત્સવ જોવા મળતો નહિ. પહેલીવાર દસમાં ધોરણ પછી ૧૯૭૧માં અગિયારમાં ધોરણમાં વડોદરા ભણવા આવ્યો ત્યારે ગણેશોત્સવ જોયો. ત્યારે અચરજ પામેલો. હવે ગણેશોત્સવ આખા ગુજરાતમાં ફેલાઈ ગયો છે. મને ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતમાં ઉતરાણ પર પતંગ ચગાવવાનું જોર હતું તેટલું સૌરાષ્ટ્રમાં નહોતું. સ્કૂલમાં ૨૫ ડિસેમ્બર નાતાલની રજા પડતી એટલી મજા, બાકી ક્રિસમસ એટલે શું કોણ જાણે?

ટૂંકમાં તહેવારો ઊજવવા એમાં ખોટું શું છે? આપણે ઉત્સવ ઘેલા છીએ જ એમાં જેના મૂળ ઉત્સવ હોય તે લોકો શું કરે? હવે મહારાષ્ટ્રીયન ભાઈઓ તમને થોડી ના પાડવાના હતા કે ગણેશોત્સવ અમારો તહેવાર છે તમે ગુજરાતીઓ મનાવશો નહિ? એમ હવે તમે ક્રિસમસ મનાવો કે પશ્ચિમના બધા ‘ડે’ મનાવો તો પશ્ચિમના લોકો થોડા મનાઈહુકમ મેળવશે? ગણેશોત્સવ મનાવવાથી જેમ ગુજરાતી અસ્મિતાનો નાશ નથી થઈ જતો તેમ ક્રિસમસ મનાવવાથી ભારતીય સંસ્કૃતિનો નાશ કઈ રીતે થઈ જાય? દરેક સંસ્કૃતિમાં જે તે વરસના અંતે એક તહેવાર મનાવવો જોઈએ એ બહાને ઘરમાં સાફસફાઈ થઈ જાય, જુના વરસની વિદાય અને નવા વરસને આવકારો અપાઈ જાય તેવા રિવાજ હોય જ છે. હવે વરસના અંતે બે વાર એવી ઉજવણી જરૂરી નથી હોતી અને કરો તો પણ તમારા ખર્ચે અને જોખમે કરો એમાં બીજાને શું? પશ્ચિમના લોકો વરસના અંતે ક્રિસમસ મનાવે પછી દિવાળી નો મનાવે. કદાચ ડિપ્લોમસી તરીકે કોઈ મનાવતું હોય તો હાજર રહે પણ ખરા. પણ તમને વરસના અંતે બે તહેવાર ઊજવવા જ હોય તો ઊજવો.

પશ્ચિમના લોકો આપણને જરાય ફરજ પાડતા નથી કે તેમના ‘ડે’ અને તહેવારો ઊજવો. આપણે જે ઊજવીએ છીએ તે આપણી મરજીથી ઊજવીએ છીએ. પણ જ્યારે જ્યારે આવા તહેવારો કે દિવસો ભારતમાં ઊજવાય ત્યારે એક બહુ મોટો વર્ગ એનો વિરોધ કરવા નીકળી પડે છે. આપણા ઘરનો છોકરો પાડોશીના છોકરા જોડે ઝગડી પડે ત્યારે આપણા છોકરાનો વાંક હોય છતાં આપણને પાડોશીના છોકરાનો જ વાંક દેખાય તેવું આમાં પણ છે. પશ્ચિમના તહેવારો ઊજવીએ છીએ આપણે પણ ગાળો ખાય છે પશ્ચિમના લોકો. એક મિત્રે લખ્યું કે મૂળ અમેરિકન આદિવાસીઓ હતા ત્યાં કોઈ સંસ્કૃતિ જ નહોતી. માયા, એઝટેક અને ઇન્કા નામની ગ્રેટ સંસ્કૃતિઓ ત્યાં હતી. ઈજીપ્ત જેવા પિરામિડ પણ આ લોકોએ બનાવેલા છે. ત્યાર પછી યુરોપિયન આવ્યા તો તેઓ પોતપોતાની સંસ્કૃતિઓ સાથે લઈ ને જ આવ્યા હોય તે સ્વાભાવિક છે.

માતૃદેવો ભવઃ અને પિતૃદેવો ભવઃ કહેનારા દેશમાં નદીઓ અને ગાયોને પણ માતા માનીએ છીએ, છતાં આપણી નદીઓ અને ગાયોનો શું હાલત છે તે સહુ સારી રીતે જાણે છે. પ્લાસ્ટિક ખાઈને પેટ ભરતી ગાયો અને માતા ગંગાનું પાણી પીવા તો ઠીક સ્નાન કરવા લાયક પણ નથી એવો સરકારી રિપોર્ટ છે. માતૃદિવસનાં દિવસે અહીં જાણે કોઈ ખરાબ કામ થતા હોય તેમ લોકો વખોડવા બેસી જાય છે. આ દિવસે માતાને કાર્ડ આપશે, ફૂલ આપશે, અને બહાર જમવા લઈ જશે. એમાંનું થોડું આપણા યુવાનો કરે તો એમાં ખોટું શું છે? રોજ રોજ તો તમે માળા લઈને માતૃદેવો ભવઃ રટવા બેસવાના નથી. આખો દિવસ તો માતાના પગ આગળ બેસી રહેવાના નથી ભક્તિભાવથી તરબતર થઈને… એનું ઋણ ચૂકવવા કે એનો આભાર વ્યક્ત કરવા એકાદ દિવસ એને કામકાજમાં રજા આપી જમવા બહાર લઈ જાઓ તો એમાં ખોટું શું છે? આપણે માતૃદેવો ભવઃ કહીને માતાને ૨૪/૭/૩૬૫ કામકાજ કરવા દઈએ છીએ કોઈ દિવસ રજા આપતા નથી. આમ તો તમે માનો છો કો પશ્ચિમના લોકો પાપી છે કોઈ રિલેશનમાં માનતા નથી તો મધર ડે મનાવી માતાનું બહુમાન આ પાપીયા કરે છે તો આપણે ખુશ થવું જોઈએ કે ના આ લોકોમાં પણ થોડું હૃદય જેવું છે.

એવું નથી હોતું કે આપણી સંસ્કૃતિ તદ્દન ખરાબ હોય કે મહાન જ હોય તેમ પશ્ચિમની સંસ્કૃતિ પણ તદ્દન ખરાબ કે મહાન હોય. દરેકમાં પોતપોતાની ખામીઓ અને ખૂબીઓ હોય જ છે. પણ આપણા લેખકો, પત્રકારો સામાન્ય લોકોને ખોટેખોટું લખીને ગેરમાર્ગે દોરતા હોય છે. અને લખેલું વંચાય તેમ સામાન્ય જન લખેલું સાચું માની લેવા ટેવાયેલા હોય છે. એમને એવું જ હોય કે કોઈ લેખક લખે એટલે તે સાચું જ હોય. બુદ્ધિશાળી લોકો પણ બહુ વિચારતા હોતા નથી અને સાચું માની લેવા ટેવાયેલા હોય છે. એક સીધો સાદો સાચો દાખલો આપું. એક ફેમસ ગુજરાતી ન્યૂઝ પેપરના એક કોલમ લેખકે લખ્યું કે ઈન્દીરા ગાંધી અને એમના પતિ ફિરોઝ ગાંધી એટલાં માટે છૂટા પડ્યા કે ફિરોઝ ગાંધી અને એમની સાસુ કમલા નહેરુ મતલબ ઇન્દિરાના માતા વચ્ચે પ્રેમ સંબંધ ચાલતો હતો અને તે ઈન્દીરા કોઈ સમયે જોઈ ગયેલા. સાસુ જમાઈ વચ્ચે પ્રેમ સંબંધની વાત વાંચી મારા એક બહુ સારા મિત્ર જેઓ પોતે લેખક છે તે સાચું માની ગયા અને એમણે પ્રતિભાવ આપ્યો કે મોટા લોકોનાં મોટા પોલ હોય. મેં એના વિષે આખો આર્ટિકલ લખીને મારા બ્લોગમાં મૂક્યો. સત્ય એ છે કે કમલા નહેરુના મરી ગયા પછી દસ વર્ષ પછી ઈન્દીરા અને ફિરોઝ ગાંધીના લગ્ન થયેલા.

‘કર્મનો નિયમ’ લખીને ફેમસ થઈ ગયેલા હીરાભાઈ ઠક્કર નામના લેખકે એમના ‘મૃત્યુનું મહાત્મ્ય’ નામના બીજા પુસ્તકમાં બહુ મોટું ગપ્પું મારેલું કે અમેરિકામાં લોકો ઘરડા થાય એટલે માથામાં ગોળી મારીને મારી નાખે અથવા ઝેર આપીને મારી નાખે આને મર્સી કિલિંગ કહેવાય. હવે જે લોકો ભક્તિભાવથી હીરાભાઈને વાંચતા હોય તેમના મનમાં એવી જ છાપ પડે કે અમેરિકન એટલે ક્રૂર ઘરડા લોકોને મારી નાખે. એના વિષે પણ મેં એક આખો લેખ લખીને મારા બ્લોગમાં મૂકેલો કે મર્સી કિલિંગ કોને કહેવાય. અમેરિકા વિષે કે પશ્ચિમની સંસ્કૃતિ વિષે તદ્દન ખોટું ચિત્રણ આપણી સામે થતું હોય છે. અમેરિકનો એટલે ક્રૂર, સેક્સ મેનીયાક, અમેરિકામાં તો રસ્તે જનારને પણ સેક્સ કરવા વિષે બેધડક પૂછી શકાય. અમેરિકામાં તો ગમે તેની સાથે ગમે ત્યારે હાલતા ચાલતા રસ્તે ગમે ત્યાં સેક્સ કરી શકાય. લોકો સાવ નાગા કપડા પહેર્યા વગર જ ફરતા હશે. અમેરિકન સ્ત્રીઓ જાણે તમારા પૂછવાની રાહ જોતી હોય કે પૂછો એટલે તરત નાગલી થઈ ને તમારી સાથે સૂઈ જાય. અમેરિકામાં તો છોકરા ૧૫ વર્ષે ઘર છોડી બહાર જ જતા રહે. નાં જાય તો માબાપ જ કાઢી મૂકે.

સત્તાવાર રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં ચાર મિલયન એટલે ૪૦ લાખ લોકો સંયુક્ત કુટુંબમાં રહે છે જેમાં આશરે ત્રણ જનરેશન જોડે રહેતી હોય છે. ભણવામાં રસ નાં ધરાવતા હોય તેવા છોકરા ૧૭-૧૮ વર્ષે જૉબ પર લગી જતા હશે. એમાંના પણ બધા પોતાના ઘર છોડી દેતાં નથી. અમેરિકાની હજારો યુનિવર્સિટીઓમાં ભણતા લાખો છોકરાંઓનાં ભણવાના તોડી નાખે તેવા ખર્ચા માબાપ વેઠતા જ હોય છે. ૧૭ વર્ષે ઘર છોડી નોકરી કરી તમે જાતે ભણી ના શકો. આઠ કલાક નોકરી કરો તો ભણો ક્યારે? અને પાર્ટ ટાઈમ નોકરી કરો તો તેટલી આવકમાં શું ભણો? ફૂલ ટાઈમ ભણો તો જ સરકારી આર્થિક સહાય મળે છે. હવે ફૂલ ટાઈમ ભણો તો ચાલો ભણવા માટે આર્થિક સહાય મળે તો ખાવા પીવાનું શું? આર્થિક સહાય માટે પણ અમુક ધારાધોરણ જોઈએ. નહિ તો વર્ષે ૨૦-૪૦ હજાર ડોલર્સ ફી ભરીને ભણવું પડે. ટૂંકમાં માબાપની સહાય હોય જ છે નહિ તો અમેરિકાની તમામ કૉલેજો આપણે માનીએ છીએ તેમ હોય તો બંધ કરી દેવી પડે. ભણવામાં બિલકુલ રસ નાં હોય તેવા છોકરા અહીં બેસી રહી માબાપ ઉપર બોજ બનતા નથી જૉબ પર લાગી જતા હોય છે, તો એમાં ખોટું શું છે?

૧૭ વર્ષે જે દેશના તમામ છોકરાં ઘરબાર છોડી સ્વછંદ બની જતા હોય તો એ દેશ આજે વિજ્ઞાનમાં સર્વોચ્ચ બની મહાસત્તા બની જ કેવી રીતે શકે? સ્વચ્છંદતાની આપણી વ્યાખ્યા જ અલગ છે. બીચ ઉપર બીકીની પહેરીને ફરતી છોકરીમાં આપણને સ્વછંદતા લાગે કારણ આપણે બંધ બાથરૂમમાં પણ કપડા પહેરીને સ્નાન કરવાવાળી પ્રજા છીએ. અહીં બીચ ઉપર ૨૦ વર્ષની યુવાન બીકીની પહેરેલી દીકરી અને ૪૦ વર્ષની લગભગ યુવાન જ દેખાતી બીકીની પહેરેલી પત્ની જોડે ૪૨ વર્ષનો અમેરિકન પુરુષ આરામથી ફરતો જોઈ આપણા ભવાં ચડી જાય. સાલા, નફ્ફટ, નાગા, બેશરમ નરકમાં જવાના એવા વિચારો આવી જાય. આ આપણા ચશ્માં છે. આપણે અંધારી રાત્રે પણ ચશ્માં પહેરીને ફરીએ તો પછી શું દેખાય?

આપણો જીવનને જોવાનો અને મૂલવવાનો નજરિયો જ અલગ છે. આપણા ૮૦ વર્ષના માબાપ એમના ૬૦ વર્ષના દીકરા જોડે એવી જ અપેક્ષા રાખતા હોય કે તે હંમેશા એમને પૂછી ને જ પાણી પીવે. આપણે મરીએ ત્યાં સુધી આપણા સંતાનોને સ્વતંત્રતા આપવા ઇચ્છતાં હોતા નથી. છોકરાઓ એમની વૈચારિક સ્વતંત્રતા આપણી પાસેથી છીનવી લે ત્યારે નાં છૂટકે જ આપીએ તે પણ કેટલુંય ખોટું લગાડીને. એનો વસવસો તો મરીએ ત્યાં સુધી રહે કે છોકરાએ મારું કહ્યું માન્યું નહિ. પશ્ચિમનો નજરિયો અલગ છે. ૧૮ વર્ષના સંતાનને માબાપ સ્વતંત્રતા આપે છે. તો સંતાનો પણ માબાપની જીંદગીમાં દખલ કરતા નથી. માબાપ પણ કોઈ ભગવાન નથી આખરે મનુષ્ય જ છે. એમના પણ ગમા અણગમા હોય, અરમાન હોય, આશાઓ હોય, પોતીકી લાગણીઓ હોય, લાગણીઓના ચડાવ ઉતાર હોય. આપણે સ્વતંત્રતા ભોગવી હોતી નથી એટલે જરાપણ સ્વતંત્રતા જ્યાં દેખાય તરત એમાં સ્વચ્છંદતા જોવા ટેવાઈ ગયા છીએ.

અહિ બસ કે ટ્રેનમાં ગમે તેટલી ભીડ હોય કોઈ એક બીજાને ટચ કરે નહિ, કે છાપા નીચેથી હાથ સરકાવી બાજુમાં બેઠેલી છોકરીને કોઈ અડપલાં કરતું નથી. અહિ સેક્સુઅલ હેરેસમેન્ટ માટે સખત કાયદા છે. ઑફિસમાં મહિલાઓને કે પુરુષોને પણ એની મરજી વગર હાથ લગાવાય નહિ. એના ખભે હાથ ફેરવી લેવાય નહિ. નાના છોકરાનું કે છોકરીનું જાતીય શોષણ કર્યું હોય જે તે સમયે તેને ભલે સમજ પડી નાં હોય પણ મોટું થઈને તે કેસ કરી શકે છે અને તમને જેલમાં ચક્કી પીસિંગ એન્ડ પીસિંગ કરાવી શકે છે. એમાં ન્યુયોર્કની કોઈ સ્કૂલમાં ભણાવતી પંજાબી મહિલા ટીચર હાલ જેલમાં છે. હમણાં અહિ એપ્રિલ સુધી બરફ પડ્યો છે. લગભગ આઠેક મહિના પુરા કપડા પહેરવા પડે નહીં તો ચામડી ફાડી નાખે તેવું હવામાન હોય છે માટે અહિ આઠ મહિના તો કોઈ નાગું ફરતું નથી, ચિંતા કરશો નહિ. મેં અને સપ્ટેમ્બરમાં પણ નાગા ફરાય તેવું વાતાવરણ હોતું નથી. જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં લોકો સૂર્યનો તાપ જેટલો લેવાય તેટલો ચામડી દ્વારા લઈ લેવો તે ન્યાયે ઓછા કપડા પહેરે છે પણ સાવ નાગા નથી ફરતા.. ઓફિસોમાં અને કંપનીઓમાં તેમના પ્રોટોકૉલ મુજબ કપડા પહેરવા પડતા હોય છે.

પશ્ચિમના કલ્ચરમાં ખામીઓ છે નહિ તેવું પણ નાં હોય. ખામીઓ બધે જ હોય છે. કોઈ પૂર્ણ તો હોતું નથી. એમાં તો એની ખૂબી છે. પણ આપણે ધારીએ છીએ તેટલું ખરાબ પણ નથી. અહીં પણ માનવો જ રહે છે. અહીં પણ માબાપ પોતાના સંતાનો માટે સેક્રીફાઈસ કરે જ છે. અહિ પણ સંતાનો વૃદ્ધ માબાપની કાળજી રાખે છે. અહિ પણ ૩૦-૪૦ વર્ષથી એકની એક પત્ની સાથે કે પતિ સાથે જીવતા લોકો મેં જોયા છે. મારો સુપરવાઈઝર જુલિયસ ૨૦ વર્ષે પરણી ગયેલો આજે ૬૫નો હશે પણ હજુ બંને સાથે જ છે. આવા તો અનેક દાખલા છે. છતાં ભારત કરતા ડિવોર્સનું પ્રમાણ ચોક્કસ વધારે છે.

જે NRI દેશમાં આવીને અમેરિકા વિષે ખોટું ચિત્રણ કરે છે તેમની માનસિકતા વર્ષો પહેલા ભારત છોડી આવ્યા હોય ત્યાં જ અટકી ગયેલી હોય છે. એમનો હેતુ ફક્ત કમાવા પૂરતો જ હોય છે. ૩૦-૪૦ વર્ષ પહેલા દેશ છોડીને ભલે આવ્યા હોય ૩૦-૪૦ વર્ષ પહેલાની માન્યતાઓ એમની સાથે એની એજ જરાય બદલાયા વગરની હોય છે. એમની જોડે ડોલરની લીલી નોટો જોવાની જ દ્ગષ્ટિ બચી હોય છે. અહીંના સમાજ જીવન વિષે કે કલ્ચર વિષે અભ્યાસ કરવાની કે નિષ્પક્ષ જોવાની એમની પાસે કોઈ દ્ગષ્ટિ હોતી નથી, કે એવી એમને કોઈ જરૂર હોતી નથી કે એવી કોઈ પળોજણમાં પડતા જ નથી. એનાં એજ ટીલા ટપકા, એના એજ ગુરુઓ પાછળ દોટો મૂકવાની, એના એજ મંદિરો, એના એજ હજારો વર્ષ જૂની માન્યતાઓ અને પરમ્પરાઓ, એની એજ અંધશ્રદ્ધાઓ, એની એજ અવૈજ્ઞાનિક માન્યતાઓ, એના એજ સંસ્કૃતિ અને સંસ્કારની ગાથા ગાયે રાખવાની ટેવ, કોઈ જ બદલાવ નહિ. આવા અબુધ પૈસાદાર લોકો દેશમાં આવીને અહીંના અસલ ચિત્ર કઈ રીતે દોરવાના હતા?

આપણા બુઢા ખૂસટ લેખકોને પણ ખબર છે કે ભારતીયોને સંસ્કૃતિ અને સંસ્કારની દુહાઈ દો એટલે ભયો ભયો. તેઓને આ વિક પોઇન્ટ ખબર છે માટે તરત લેખ ઘસડી નાખશે. પશ્ચિમને થોડું ભાંડી નાખો એજ યુજુઅલ ભારતીયો ખુશ થઈ જવાના, આપણો ટી આર પી જળવાઈ જવો જોઈએ. લેસ્લીએ ડોક્યુમેન્ટરી બનાવી ભાંડી નાખો પશ્ચિમને, દીપિકાએ મારી મરજી કહ્યું ભાંડી નાખો પશ્ચિમને, બિહારમાં પરીક્ષાઓમાં થતી ચોરીઓના ફોટા વિદેશમાં પહોચ્યા ભાંડી નાખો પશ્ચિમને. કેટલાક યુવાનોએ મધર્સ ડે, ફાધર્સ ડે, વૅલન્ટાઇન ડે, ટીચર્સ ડે ઊજવ્યા ભાંડી નાખો પશ્ચિમને.

યુવાનોને વખોડ્યા વગર, પશ્ચિમને વખોડ્યા વગર આપણી પાસે જે જે તહેવારો છે તેને અપડેટ કરવા જોઈએ. આપણી પાસે ગુરુ પૂર્ણિમા છે જ. એ દિવસે ગુરુ ઘંટાલો પાછળ દોટો મૂકવાને બદલે યુવાનોને ટીચર્સ ડે ઊજવવા પ્રેરિત કરવા જોઈએ તો ફરી બીજો ટીચર્સ ડે ઊજવવા નહિ દોડે. આજના યુવાનને એના ટીચર્સમાં શ્રદ્ધા હશે તેટલી તમારા ટીલા ટપકા કરેલા પૈસા પડાવતા અવૈજ્ઞાનિક વાતો કરતા ગુરુ ઘંટાલ પ્રત્યે નહિ જાગે. પણ તમારે આવા લુચ્ચા ગુરુઓ પાછળ દોટો મૂકવી છે અને છોકરાને ટીચર્સ ડે ઊજવવા દેવો નથી. વસંત પંચમીને અપડેટ કરો વૅલન્ટાઇન ડે નહિ મનાવે. નવરાત્રિમાં કાલ્પનિક પ્રતીકાત્મક માતાઓ સાથે ઘરની અસલી માતાઓનું પૂજન કરવાનું શીખવો મધર્સ ડે નહિ મનાવે. પિતાજી તો મૂંગામંતર બલિદાન આપવા માટે જ હોય છે એમનો કોઈ દિવસ છે નહિ. દિવાળીને અપડેટ કરો. યુવાનોને સમજાવો કે વર્ષના અંતે દિવાળી અને ક્રિસમસ જેવા બે તહેવાર એક જ ટાઈપનાં જરૂરી નથી. દિવાળીમાં ક્રિસમસનો ચાર્મ ઉમેરો, થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરનું થ્રિલ ઉમેરો તો ફરી ક્રિસમસ ઊજવવા કોઈ તૈયાર નહિ થાય. આપણી પાસે પશ્ચિમ કરતા વધુ તહેવારો છે. છતાં આપણા તહેવારોમાં કશું ખૂટે છે, કશું નવું માંગે છે આજના યુવાનો. એટલે પશ્ચિમના તહેવારો તરફ દોટ મૂકે છે.

આપણે તહેવારોને તહેવારો રહેવા દીધા નથી ધાર્મિક મેળાવડા બનાવી દીધા છે. યુવાનોને ઇનોસન્ટ આનંદ માણવો હોય છે.    Mothers-Day-DP-For-Facebook

ક્ષમાપંથે

ક્ષમાપંથેimagesI3MWPAJ1

હું નાનો હતો ત્યારે વિજાપુરમાં અમારા ભાટવાડામાં એક કથાકાર આવતા. ઊંચા, ગોરા, મોટું કપાળ, વાંકડિયા ઝુલ્ફા, પ્રભાવશાળી હતા. મારા ફાધર થિયોસોફિકલ સોસાયટીમાં જોડાયેલા હતા. અને આ કથાકાર થિયોસોફિકલ સોસાયટીના વિચારોને વરેલા અને એના આમંત્રણથી જ આવતા, કોઈ ચીલાચાલુ ધાર્મિક ખાલી પૈસા કમાવાના હેતુ વડે કથા કરતા હોય એવું નહોતું. પ્રેરણાત્મક કથાઓ કહેવાનો એમનો હેતુ ઉમદા હતો. ‘વેર વેરથી શમતું નથી’ એવા શીર્ષક હેઠળ એક જોરદાર લોકકથા તેમના ભવ્ય કંઠે તેઓ કહેતા ત્યારે શ્રોતાઓ એક ટ્રાન્સમાં ચાલ્યા જતા. કથા હતી પીઠાસની..

પીઠાસ એક નાનો બાળક હતો એની પાસે એનો એક પાળેલો સસલો હતો. એકવાર પીઠાસ એના પિતા સાથે એના ફોઈના ઘેર જાય છે ત્યાં એનો સસલો જોડે જ હોય છે. પીઠાસનાં ફૂવા સસલાને મારી ભોજન રૂપે આરોગી જાય છે. આ વાતે પીઠાસનાં પિતા અને એમના બનેવી જે પીઠાસના ફૂવા થાય બંને વચ્ચે ઝગડો થાય છે. એમાં પીઠાસનાં પિતા બનેવીના હાથે મરાય છે. પીઠાસના મનમાં વેર ભાવના ઘર કરી જાય છે. પીઠાસ મોટો થતા એની ફોઈ પોતે જ પીઠાસને પોતાના ભાઈના મારતલ પોતાના પતિની હત્યા કરી આપવા સગવડ આપે છે. પીઠાસ ફુવાની હત્યા કરી વેરનો બદલો લે છે. હવે ફૂવાના દીકરા પીઠાસ પાછળ પડે છે. આમ વેરનો અંત આવે નહિ. પીઠાસની નવોઢાની રાત્રે મસ્તીભર્યા માહોલમાં બંગડીઓ તૂટી જાય છે. નવોઢા હઠ પકડે છે કે સૌભાગ્ય સૂચક બંગડીઓ વગરના હાથ નહિ રાખું હાલ જ બંગડીઓ લઈ આવો. પીઠાસ સમજાવે છે કે ફોઈના દીકરા ગમે ત્યારે મારી હત્યા કરી નાખશે આમ અરધી રાત્રે મણિયારની દુકાન ખોલાવી લેવા જવું હિતાવહ નથી પણ પત્ની માનતી નથી. પીઠાસ જાય છે ફૂઈના દીકરાઓ એને પકડી પાડે છે. પીઠાસ વચન આપે છે કે આ બંગડીઓ પત્નીને આપી ને પાછો આવું. પીઠાસ વચન પાળે છે અને ફૂવાના દીકરાઓનું હ્રદય પરિવર્તન થાય છે. પીઠાસને મારતા નથી. વેર વેરથી શમે નહિ અવેરથી શમે એવો ઉપદેશ આ કથામાં હોય છે.

આ કથા ગદ્ય અને પદ્યમાં મઢીને એવી સરસ રીતે કહેવાતી કે લોકોની આંખમાં આંસુ આવી જતા. હું બહુ નાનો હતો તે સમયે પણ એનો ટૂંકસાર હજુ મને યાદ છે તે કથાકારની કાબેલિયતનું પ્રમાણ છે.

કોઈના પ્રત્યે વેર, દ્વેષભાવ, રોષ મનમાં ભરી રાખવો જરાય હિતાવહ નથી. આપણને કોઈ દગો દે કે આપણી લાગણીઓ ઘવાય ત્યારે આપણું લોહી ઊકળી ઊઠે છે. ગુસ્સો અને બદલો લેવાની ભાવના જાગે છે. અને આવી ભાવના આપણી સિમ્પથેટિક નર્વસ સિસ્ટમનો ફાઈટ ઓર ફ્લાઇટ સ્ટ્રેસ રિસ્પૉન્સ ઍક્ટિવ કરે છે, જે આપણા સ્ટ્રેસ હાર્મોન્સ કોર્ટીસોલનું લેવલ વધારી નાખે છે. કડવાશ અને ક્રોધાવેશ દ્વારા ઊભો થતો સ્ટ્રેસ રિસ્પૉન્સ બ્લડપ્રેશર વધારે છે. કોઈ આપણા પ્રત્યે રોષ કે વેરભાવ મનમાં ભરી રાખે કે આપણે કોઈના પ્રત્યે ભરી રાખીએ તો તે લાંબા ગાળે ટૉક્સિક (વિષમય) બની બદલો લેવાની ભાવના ભેગી થતા ટ્રૅન્સ્ગ્રેશન તરફ દોરી જાય છે. આ વિષાક્ત રોષને શાંત પડવાની કોઈ પ્રક્રિયા હાથ ધરીએ નહિ અને મનમાં વેર ભરી રાખીએ તો શરીર માટે વિનાશકારી સાબિત થાય છે. એક રીતે કહીએ તો મનમાં રોષ ભરી રાખવો આત્મહત્યા જેવું કહેવાય.

માયામી યુનિના મનોવિજ્ઞાનનાં પ્રોફેસર Michael McCullough અને કેલિફોર્નિયા યુનિનાં મનોવિજ્ઞાની બેન્જામીન દ્વારા થયેલા એક અભ્યાસ મુજબ તમને જેના પ્રત્યે રોષ હોય તેના તરફ ખાલી પ્રસન્ન મુખમુદ્રા(conciliatory gestures) રાખી આગળ વધો તો પણ તમારા સ્ટ્રેસ હાર્મોન કોર્ટીસોલમાં ઘટાડો થાય છે. મૂળભૂત કોઈના પ્રત્યે વેરભાવ કે ગુસ્સો સિમ્પથેટિક નર્વસ સિસ્ટમનો ફાઈટ ઓર ફ્લાઇટ સ્ટ્રેસ રિસ્પૉન્સ ઍક્ટિવ થતા “stress hormone” cortisol વધારે જે સર્વાઈવલ માટે જરૂરી હોય છે, તેવી જ રીતે કોઈના પ્રત્યેનો રોષ કે ગુસ્સાનું શમન થાય તેવા મૈત્રી ભર્યા પ્રયત્નો  parasympathetic nervous system દ્વારા “love hormone” oxytocin નું લેવલ વધારે જે પણ સર્વાઈવલ માટે જરૂરી જ છે. હવે લાંબા ગાળે આપણા શરીર માટે કયું સારું? તમે જ નક્કી કરો. આ બંને નર્વસ સિસ્ટમ દ્વારા રિલીજ થતા બંને હાર્મોન્સ જરૂરી છે. હવે તો લગભગ બધા મિત્રો કાર ચલાવતા જ હશે તો સમજો એક ગેસ પેડલ છે અને બીજું બ્રેક પેડલ. ક્યારે ગેસ પેડલ દબાવવું અને ક્યારે બ્રેક તે આપણે કાર ચલાવતા જાણતા જ હોઈએ છીએ તો જીવનરથ ચલાવતા કેમ જાણી નાં લેવું કે ક્યારે cortisol ઘોડાને દોડાવવો અને ક્યારે oxytocin લગામ ખેંચવી? એક મહત્વની વાત એ છે કે cortisol and oxytocin બંનેનું સરસ બેલેન્સ સારા સ્ટ્રેસમાં પરિણામે છે જેને આપણે  પૅશન કહી શકીએ કોઈ કામ કે હેતુ પ્રત્યે જુસ્સો કે લગન વધારે છે અને તે ખરાબ સ્ટ્રેસ જે રોગોનું કારણ છે તેને ઘટાડે છે.

સતત વેરભાવ મનમાં ભરી રાખવો આપણને માનસિક રીતે એકલાં પાડી દે તેમાં નવાઈ નહિ. સમૂહમાં રહેવાથી સર્વાઈવલનાં ચાન્સ ખુબજ વધી જાય તે આપણે વિકાસના ક્રમમાં શીખી ચૂક્યાં છીએ. અને સમૂહમાં રહેવા સામાજિક જોડાણ અગત્યનું છે અને તે જોડાણ વધારવા એકબીજા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ જરૂરી છે, તો પ્રેમ અને વિશ્વાસનું જનક ન્યુરોકેમિકલ ઓક્સિટોસીન લેવલ સચવાય તે ખાસ જરૂરી છે. એમેઝોનનાં જંગલોમાં રહેતા હન્ટર ગેધરર ઉપર કરેલા એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે પુરુષો બહાર શિકાર કરવા જાય અને પાછાં ઘેર આવે ત્યારે એમના ઓક્સિટોસીન લેવલ વધી જતા અને તેનો આધાર તે કેટલો સમય બાકીના સમૂહથી દૂર રહ્યા છે તેના પર રાખતું. મતલબ વધુ સમય ફેમિલી કે સમૂહથી દૂર રહ્યા હોય અને ઘેર પાછાં આવે તો ઓક્સિટોસીન લેવલ ખૂબ વધી જાય. ઘણા દિવસે કોઈ પ્રિયજન મળે તો સ્વાભાવિક ખૂબ આનંદ પમાડતું હોય છે તેનું રહસ્ય ઓક્સિટોસીન લેવલ ખૂબ વધી જાય તેમાં છુપાયેલું હોય છે. ટૂંકમાં જેટલો વિરહ લાંબો મિલનની મજા એટલી વધારે.

કાયમ માફ કરવું અને ભૂલી જવું પણ યોગ્ય નથી, ખાસ તો જ્યારે તમે પરણેલા હો. હહાહાહાહાહહાહાહ.

કોઈ સંપૂર્ણ હોતું નથી માટે કાયમ બધા ભૂલો તો કરતા જ હોય છે ત્યારે ટૂંકા સમયનો ગુસ્સો જરૂરી છે. જેથી લાંબો સમય રોષ મનમાં ભરેલો રહે નહિ. હું પોતે શૉર્ટ ટૅમ્પર છું. શૉર્ટ ટૅમ્પર લોકોની એક જબરદસ્ત ખૂબી એ હોય છે કે તેઓ લાંબો સમય કોઈના પ્રત્યે વેરભાવ રોષ રાખી શકે નહિ. એમના ગુસ્સાનું સમાપન જલદી થઈ જતું હોય છે. થોડીવાર પછી તેઓ ભૂલી જતા હોય છે. કદી ગુસ્સે નહિ થનારા લોકોથી હમેશાં ચેતવા જેવું છે. તેઓ કોઈ મહાત્માઓ તો હોતા નથી ગુસ્સે તો થતા જ હોય છે પણ તેઓ એમનો ગુસ્સો મનમાં જમા કરી રાખતા હોય છે. અને કાયર હોવાથી આડકતરી રીતે એવું વેર વાળે કે જેનો કોઈ હિસાબ નો થાય. શૉર્ટ ટેમ્પરનો એક ગેરફાયદો એ છે કે સામેવાળો તરત હર્ટ થઈ જાય. અને સામાવાળાએ એના પ્રત્યે મનમાં રોષ ભરી રાખ્યો હોય છે તે શૉર્ટ ટેમ્પરને ખબર હોતી નથી. તે તરત ભૂલી ગયો હોય છે. સામેવાળો બદલો લેશે તે વાત પણ તેના મનમાં આવતી નથી. શૉર્ટ ટૅમ્પર લોકો દુનિયાના સૌથી વધુ દગાબાજીનો ભોગ બનનારા કમનસીબ લોકો છે.

બીજાને માફ કરવું તેના કરતા વધુ અઘરું પોતાની જાતને માફ કરવું છે.

બીજા પ્રત્યે રોષ ભરી રાખવો માફ નહિ કરવું જે રીતે કોર્ટીસોલ લેવલ વધારે અને ઓક્સિટોસીન લેવલ ઘટાડે તે જ રીતે પોતાના પ્રત્યે રોષ ભરી રાખવો કે પોતાની જાતને માફ નહિ કરવી કે પોતાની જાત પ્રત્યે શરમ અનુભવવી આપણું કોર્ટીસોલ વધારે છે અને ઓક્સિટોસીન ઘટાડે છે. Self-forgiveness is just as important as forgiving others.

આપણે કોઈ બીજાને ફોર્સ ના કરી શકીએ કે તે આપણને માફ કરી દે. ક્ષમા આપવાની પ્રક્રિયામાંથી પસાર થવાની દરેકની પોતપોતાની અલગ સ્પિડ હોય છે. પોતાની ભૂલની માફી માંગી લેવી ઉત્તમ છે. એના માટે LKM (loving-kindness meditation ) સરસ ઉપાય છે. આંખો બંધ કરી મનમાં પ્રેમ, કરુણા અને ક્ષમાનાં વિચારો સાથે પ્રસન્ન મુદ્રામાં ચાર ડગલાં આગળ વધવું જાણે સામે ૧) કોઈ પ્રિયજન ઊભું છે, ૨) જેના પ્રત્યે મનમાં રોષ છે તે ઊભું છે, ૩) કોઈ અજાણ્યું ઊભું છે, ૪) અથવા તો સામે પોતે જ ઉભા છીએ. બસ આટલું કરવામાં ફક્ત થોડી મીનીટોનો જ સવાલ છે.summer_love_wallpaper_rjtz3

 

 

 

 

 

 

 

કાબે અર્જુન લુટીયો વોહી ધનુષ વોહી બાણ

કાબે અર્જુન લુટીયો વોહી ધનુષ વોહી બાણuntitled

 

સમય સમય બલવાન, નહિ મનુષ્ય બલવાન કાબે અર્જુન લુટીયો, વહી ધનુષ વહી બાણ.

યાદવોનો અંદરોઅંદર લડીને સર્વનાશ થઈ ચૂક્યો હતો. અર્જુનને સમાચાર મળી ચૂક્યા હતા. અર્જુન પુરપાટ એના પ્રિય સખા કૃષ્ણને મળવા દ્વારકા તરફ ધસી રહ્યો હતો. રસ્તામાં અંદરોઅંદર લડાવી મારવાની માનસિકતા કહેવાય તેવા નારદજી મળ્યા. એમણે અર્જુનને ચેતવ્યો હતો કે કાલે કૃષ્ણ મળે તો સ્પર્શ કરતો નહિ પછી કહેતો નહિ કે તને ચેતવ્યો નહિ, જો કૃષ્ણને સ્પર્શ કરીશ તો એવું બનશે કે મહાન ભારતવર્ષની મહાન જાતિ હમેશાં તને યાદ કરશે, ૫૦૦૦ વર્ષ પછી કેજરીવાલ નામનો આમ આદમી મહાન ભારતીયોનું અસ્પૃશ્ય(સફાઈમાં શરમ)રહેલું ઝાડુ હાથમાં લઈને કોઈ મહારથીને હરાવશે ત્યારે તારું નામ શરમજનક સ્થિતિમાં લેવામાં આવશે.

નારદ તો સુચના આપી જતા રહ્યા. અર્જુન ભાગ્યો, એના પ્રિય સખા, ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ મુશ્કેલીમાં હતા. એક વૃક્ષ નીચે પગમાં કોઈ અજાણ્યા શિકારીએ ભવિષ્યના ભગવાનને પશુ સમજી પગમાં મારેલા બાણને લીધે અત્યંત લોહી વહી જવાથી મરણતોલ હાલતમાં હતા. ભવિષ્યમાં અજરાઅમર તરીકે લાખો વર્ષ પૂજાતા રહેવાના હતા, પણ હાલ મરણાસન્ન હતા તેવા કૃષ્ણને મળવા અર્જુન આતુર હતો. આ અર્જુન મહાભારતનો અદ્વિતીય અજેય યોદ્ધો, એના સારથિ સલાહકાર કૃષ્ણ જેના લીધે, જેમની વાતો લખીને ભારતને ભવિષ્યમાં ૫૦૦૦ વર્ષ પછી પણ મહાન પદ્મશ્રી એવોર્ડ વિજેતા તત્ત્વચિંતકો મળવાના હતા, એ કૃષ્ણને છેલ્લી વાર મળવા દોટ મૂકી રહ્યો હતો.

કૃષ્ણ ઘાયલ પગને બીજા પગ પર ચડાવીને વૃક્ષ નીચે બેઠા હતા. સર્જરી કરીને ટાંકા લઈને બચાવી લે તેવા શુશ્રુતને જન્મ લેવાને હજુ ઘણી વાર હતી. કૃષ્ણ અર્જુનને જોઈ હરખાઈ ગયા કહે મને છેલીવાર સરસ મજાનું હગ(આલિંગન) આપી દે. અર્જુનને નારદની સૂચના યાદ હતી તેણે સ્પર્શ કરવાની એજ યુજુઅલ ભારતીયની જેમ ના પાડી દીધી ભવિષ્યમાં તો ભવિષ્યમાં પણ બદનામ થવાનું ના પાલવે. કૃષ્ણ પણ ચાલાક હતા કહે કોઈ વાંધો નહિ ખાલી તારા બાણ વડે મારા આ ‘ઘા’ ને જરા ખોતરી આપ બહુ ખંજવાળ આવે છે. અર્જુનને થયું ક્યા જાતે સ્પર્શ કરવાનો છે? એના બાણ વડે પારધી વડે કરાયેલા ઘા ને ખોતરી આપ્યો. બસ એટલામાં કૃષ્ણ એમની રમત રમી ગયા.

યાદવોનો એડલ્ટ પુરુષવર્ગ તો નાશ પામી ચૂક્યો હતો. બાળકો અને યાદવોની વિધવાઓને લઈને અર્જુન હસ્તિનાપુર તરફ જઈ રહ્યો હતો. એનું અજેય ગાંડીવ એની પાસે હતું. પણ રસ્તામાં કાબા જાતિના લુટારુ મળી ગયા અને અર્જુનને લુટી ગયા. કહેવાય છે બાણ વડે કૃષ્ણના ઘાવને ખોતરતા માયાવી કૃષ્ણે અર્જુનના બાણમાંથી રહસ્યમય શક્તિઓ શોષી લીધી હતી હવે બાણ કોઈ કામનું રહ્યું નહોતું. સમય બળવાન છે માણસ નહિ. કૃષ્ણની આ શીખ આપણે હજુ યાદ રાખતા નથી.

કાબાનો તળપદી ભાષામાં એક અર્થ ચતુર પણ થાય છે. નરેન્દ્ર મોદી રાજકારણમાં કાબો ગણાય છે તો અર્જુને કાબાને પછાડ્યો કે તુચ્છ ગણાતા એવા કાબા કેજરીવાલે મોદી જેવા મહારથી અર્જુનને લુટી લીધો દિલ્હીની ચૂંટણીમાં કહેવું મુશ્કેલ છે. પણ એક વાત ચોક્કસ છે કે હવે જનતા બહુ હોશિયાર થઇ ગઈ છે, તમારી રેલીઓમાં આવશે, તમારો દારુ પી જશે, તમારી વહેચેલી ભેટ સોગાદો ખાઈ જશે પણ વોટ તો એના ગમતાને જ આપશે. હું તો કાયમ લખતો હોઉં છું કે તમારા ન્યુરોન્સ ઉપયોગમાં લો, એને જાગૃત કરો આ નેતાઓ વચનો આપે તેના પર ભરોસો કરશો નહિ, એ પછી કેજરીવાલ હોય કે મોદી.

કાળા નાણા અને ભ્રષ્ટાચારને મુદ્દે તમામ નેતાઓ વચનો આપતા હોય છે. પણ પ્રજાએ સમજી લેવું જોઈએ કે આ ઠાલાં વચનો જ છે. કરપ્શન આપણી સંસ્કૃતિ છે. કરપ્શન ઈઝ સર્ક્યુલેટેડ ઇન અવર બ્લડ. મને મારું કરપ્શન જરાય દેખાય નહિ સામેવાળાનું જ દેખાય તે હકીકત છે. સવારે પહેલા ઉઠીને ભગવાન સામે પ્રસાદ ચડાવી પ્રાર્થના કરીને આપણા ભ્રષ્ટાચારની શુભ સવાર શરુ થાય છે ત્યાં દેશમાંથી કરપ્શન દૂર કરવાની કે થવાની આશા રાખશો જ નહિ અને એવી આશા કોઈ બંધાવે તો માનશો જ નહિ. આમ આદમીથી માંડીને અંબાની સુધીના આપણે સહુ કરપ્શનમાં રચ્યા પચ્યા જ રહીએ છીએ. કરપ્શનનો એક જ ઉપાય છે તેને કાયદેસર બનાવી દો.

મોદી બહુ સારા રાજકારણી છે, હવે સારા રાજકારણીની વ્યાખ્યા દરેકની અલગ હોય તે વાત જુદી છે. પ્રેમ અને યુદ્ધમાં બધું વાજબી છે એ મુજબ ચૂંટણી જીતવી એક જાતનું યુદ્ધ જ છે. અને એ યુદ્ધ જીતવા બધા રાજકારણીઓ બધું ગેરવાજબી કરતા હોય છે, જે વાજબી ગણાતું હોય છે. પણ દરેકની એક લીમીટ હોય તેમ ગેરવાજબી કરવાની પણ એક લીમીટ હોય. ભાજપને અઢળક વોટ મળ્યા તેમાં ભાજપની સફળતા કરતા કોંગ્રેસની નિષ્ફળતા વધુ કામ કરી ગઈ હતી. પ્રજાને કોઈ વિકલ્પ જોઈતો હતો અને અને ભાજપા સિવાય બીજો કોઈ વિકલ્પ જડતો નહોતો. એમાં મોદીના કરિશ્મા કરતા કરિશ્મા ગુમાવી ચૂકેલી કોંગ્રેસની નેતાગીરી વધુ જવાબદાર હતી.

પક્ષ મહાન એના કાર્યકરોથી હોય છે. આખી જીંદગી જાત ઘસી નાખી હોય પક્ષ માટે એવા પક્ષના નિષ્ઠાવાન પાયાના કાર્યકરો અને પાયાના નેતાઓની અવગણના કરવી અને કદી વફાદાર રહેવાના નાં હોય એવા પાટલી બદલુઓને ફક્ત ચૂંટણી જીતવાનો એજન્ડા લક્ષમાં રાખી માથે ચડાવીએ તો લાંબા ગાળે બહુ મોટું નુકશાન કરે જ. જેમ સારો અર્થશાસ્ત્રી સારો વડાપ્રધાન સાબિત થતો નથી તેમ સારી પોલીસ ઓફિસર ચૂંટણીજીતું સાબિત થાય તે જરૂરી નહોતું. કિરણ બેદી જરૂર સારું કામ કરી શક્યા હોત પણ સારું કામ કરવા માટે સત્તા પર આવવું પણ જરૂરી હતું. અને તે માટે ચૂંટણી જીતવું જરૂરી હતું. આખી જીંદગી ઉચ્ચ પોલીસ ઓફિસર તરીકે કામ કર્યું હોય એટલે સ્વાભાવિક તોછડાઈ અને આપખુદ હોય. મોદી ભલે ભાષણો કરતા અતિશય નમ્ર લાગતા હોય એમની તોછડાઈ અને આપખુદ વલણ તો એમની સાથે રોજ કામ કરતા લોકોને જ ખબર હશે. પણ તે ગ્રેટ અભિનેતા છે. અને એ પણ હકીકત છે કે આપખુદ બન્યા વગર નીચેના માણસો પાસે તમે જરૂરી કામ લઈ પણ નાં શકો.

ખેર! અમે નાના હતા ત્યારે ઉતરાણ ઉપર હું જોતો કે અમુક પતંગ આકાશમાં એટલા બધા ઉંચે હોય કે કપાયા પછી વધુ ને વધુ ઉપર જતા હોય. અમારો મિત્ર રાજુ બ્રહ્મભટ્ટ કહેતો કે આ પતંગ બીનહવામાં જાય છે. મતલબ હવા નાં હોય તેવા આકાશના ઉપરના ભાગે જતો જાય છે. હવે ભાગ્યેજ ધરતી પર પાછો આવે. એટલે પતંગ એટલો બધો દોર છોડીને ઉંચો ચગાવવો નહિ કે કપાયા પછી બીનહવામાં જતો રહે. પ્રજાએ વોટ આપ્યા છે છાપરે ચડી પતંગ બીનહવામાં ચગાવવા માટે નહિ. પ્રજાએ વોટ આપ્યા છે ધરતી સાથે જોડાયેલા રહીને આમ આદમીના કામ કરવા માટે, આમ આદમીની વ્યથા સમજી એમને જીવવા સહારો આપવા માટે.

આમ આદમીનું કામ કરવા થોડા વિશિષ્ટ આદમી બનવું જરૂરી છે. આશા રાખીએ મોદી જરા છાપરેથી નીચા ઊતરે અને કેજરીવાલ થોડા વિશિષ્ટ બને. બંને માટે ભારતની જનતાને બહુ મોટી આશાઓ છે. એમાં બંને ખરા ઊતરે તેવી શુભેચ્છાઓ..

કાળા મરી: ભક્તિસંપ્રદાયે ભારતની ઘોર ખોદી છે. કોઈના પ્રશંસક બનવું જરાય ખોટું નથી પણ ભક્ત અને તે પણ અંધ ભક્ત બનવું તે ભક્ત અને એના ભગવાન બંને માટે નુકશાનકારક છે.

 

નવમું સાહિત્ય સંમેલન ન્યુ જર્સી યુ.એસ.એ.

photo3

નવમું સાહિત્ય સંમેલન ન્યુ જર્સી યુ.એસ.એ.

ગુજરાતી લિટરરી ઍકેડેમી ઑફ નોર્થ અમેરિકા તરફથી ઈ-મેલ તો આવી જ ગઈ હતી કે શુક્ર-શનિ-રવિ, ૧૨-૧૩-૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૪ સાહિત્ય સંમેલન રાખવામાં આવ્યું છે. હાજર રહેવું હોય તો રજીસ્ટ્રેશન કરાવવાનું હતું પણ થાય છે હજુ વાર છે વિચારી આગળ વધેલો નહિ. વડીલ મિત્ર સુબોધ શાહ એકવાર મળ્યા તો મને પૂછ્યું. તમે સાહિત્ય સંમેલનમાં આવવાના છો ? મેં કહ્યું હા, પણ હજુ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી.

untitled=-0બીજા દિવસે એની જૂની ઈમેલ ખોલી જરૂરી ફોર્મ કાઢી તે વિધિ પતાવી દીધી. આ વખતના સાહિત્ય સંમેલનમાં મુખ્ય હીરો હતા સમર્થ સાહિત્યકાર સ્વ. શ્રી મનુભાઈ પંચોળી જેમને આપણે સાહિત્યપ્રેમીઓ “દર્શક” નામથી ઓળખીએ છીએ. આ વર્ષ શ્રી મનુભાઈ પંચોળી જન્મશતાબ્દી તરીકે ઉજવાય છે. દર્શક નામ પડતા માનસપટલ ઉપર પહેલા શબ્દો ઉભરી આવે ‘ઝેર તો પીધા છે જાણી જાણી ‘. દર્શક વિષે બોલવાનું હોય એટલે એમના શિષ્ય કે અંતેવાસી સિવાય વધુ સારું કોણ બોલી શકે ? લેખક, શિક્ષણવિદ, ગાંધીમાંર્ગી વિચારક, દર્શકની સ્થાપેલી પ્રખ્યાત સંસ્થા લોકભારતીમાંથી સ્નાતક, અધ્યાપક અને લોકભારતીના આચાર્ય રહી ચુકેલા શ્રી. મનસુખ સલ્લા મુખ્ય મહેમાન હતા.photo6

નવી પેઢીના યુવાનો માટે ખાસ ટૂંકમાં લખું તો દર્શક ૧૫ ઓક્ટોબર ૧૯૧૪માં જન્મેલા મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના હતા. સ્વાતંત્ર્યસેનાની હતા. ભારત છોડો આંદોલન વખતે જેલમાં જઈ આવેલા હતા. જુના ભાવનગર રાજમાં શિક્ષણ મંત્રી હતા. ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે પણ રહેલા. ૧૯૭૫માં ઈમરજન્સી વખતે વળી પાછા સ્વતંત્ર ભારતમાં ફરી જેલમાં ગયેલા. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહેલા. ૧૯૫૩માં સણોસરામાં સ્થાપેલી લોકભારતી ગ્રામવિદ્યાપીઠ એમનું વહાલું સંતાન કહેવાય. ૨૯ ઓગસ્ટ ૨૦૦૧માં ત્યાં જ એમણે દેહ પણ મૂક્યો. દર્શક એક સમર્થ સાહિત્યકાર સાથે રાજકારણી પણ હતા. રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી એવોર્ડ, ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર, જમનાલાલ બજાજ એવોર્ડ, સરસ્વતી સન્માન અને છેવટે પદ્મભૂષણ આ બધું એમને પ્રાપ્ત થઈ ચૂક્યું હતું. બીજું બધું છોડો પણ દર્શક નામ પડે એટલે લોકભારતી, સૉક્રેટિસ અને ઝેર તો પીધા છે જાણી જાણી આટલું તો યાદ આવી જ જાય.

DSCF0092સુનીલ નાયકની ભવ્ય હોટેલ ‘ક્રાઉન પ્લાઝા પ્રિન્સ્ટન’ ગામ પ્લેઈન્સ બોરોમાં આવેલી છે ત્યાં આ સંમેલન રાખવામાં આવેલું હતું. શુક્રવારે સાંજે શરુ થઈ, શનિવારે આખો દિવસ અને રવિવારે બપોરે ત્રણેક વાગે સમાપન હતું. નેવિગેશન પ્રમાણે છેક હોટેલ આગળ પહોંચી ગયો ને ભૂલો પડ્યો. ગંતવ્ય સ્થાને પહોચીને ભૂલા પડવું કેવું કહેવાય ? મેઈન રોડ થી એક મિનીટ પણ નાં થાય એટલે દૂર હતી હોટેલ પણ દેખાઈ જ નહિ.. એનુ મૂળ કારણ અહીં કારણ વગર વૃક્ષો કાપતા નથી. જો કે થોડું આગળ પાછળ ડ્રાઈવ કર્યું ને હોટેલ દેખાણી. પાર્કિંગમાં જ મોટાભાઈ જેવા લાગણીશીલ નવનીત શાહ અને એન્જીનિયર એવા કવિ વિરાફ કાપડિયા મળી ગયા. વિરાફ કાપડિયાને હું ભૂલમાં વિરાટ કાપડિયા કહેતો હતો, આ મૃદુભાષી પારસી જેન્ટલમૅન  બહુ સરસ કવિતાઓ લખે છે. ચાપાણી નાસ્તા પછી સમારોહ શરુ થયો. દીપ પ્રગટાવી આવા સમારંભોનું ઉદ્ઘાટન કરવાની આપણી પરમ્પરા છે. એમાં કોઈ પ્રયોગાત્મક કામ થાય એવું લાગતું નથી. વડીલ મિત્ર સુબોધ શાહ સાથે અમે પણ બેઠક જમાવી હતી. સુબોધ શાહ મુંબઈ યુનિના એન્જીનિયર, સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજીમાં કવિતાઓ લખે છે. ‘કલ્ચર કેન કિલ’ નામનું જબરદસ્ત પુસ્તક અંગ્રેજીમાં એમણે લખેલું છે.

ઍકેડેમીનાં પ્રમુખ શ્રી રામ ગઢવીએ એમની હળવી રમૂજી શૈલીમાં બધાનું સ્વાગત કર્યું. ત્યાર પછી ગુજરાતી લિટરરી ઍકેડેમી ઑફ નોર્થ અમેરિકા તરફથી અમેરિકામાં રહીને ઉત્કૃષ્ઠ સર્જન કરતા સાહિત્યકારોનું બહુમાન કરતા કેટલાક પારિતોષિકો અપાય છે તે પ્રસંગ ઉજવાયો. ઍકેડેમી તરફથી ડૉ નવીન મહેતાના સૌજન્યથી એમના પિતાશ્રીની યાદમાં શ્રી ચુનીલાલ વેલજી મહેતા પારિતોષિક અપાય છે. ૧૦૦૦ ડોલરનું આ પારિતોષિક આજ સુધીમાં શ્રી. મધુ રાય, શ્રી પન્ના નાયક, શ્રી. આદીલ મન્સૂરી, શ્રી પ્રીતિ સેનગુપ્તા, ડૉ. અશરફ ડબાવાલા, શ્રી. આનંદ રાવ અને શ્રી. બાબુ સુથારને મળી ચૂક્યું છે. આ વર્ષનું આ પારિતોષિક હાસ્યલેખક શ્રી. હરનીશ જાનીને મળ્યું.DSCF0243

શ્રી. રમેશ પારેખ પારિતોષિક શ્રી. કેની દેસાઈના સૌજન્યથી અપાય છે. શ્રી. ચંદ્રકાંત શાહ, શ્રી. વિરાફ કાપડિયા અને શ્રી. શકૂર સરવૈયા ને આજ સુધીમાં આ પારિતોષિક મળી ચુક્યું છે. જ્યારે આ વર્ષનું આ પારિતોષિક ડૉ. નટવર ગાંધીને મળે છે. આ વર્ષે જ શરુ થયેલું ટી.વી. એશિયા પારિતોષિક ટીવી એશિયાના CEO શ્રી. એચ. આર. શાહના સૌજન્યથી અપાયું. ગુજરાતી કુટુંબમાં જન્મેલા હોવા છતાં બીજી કોઇપણ ભાષામાં લખતા હોનહાર ગુજરાતીઓ માટે આ પારિતોષિક શરુ કરાયું છે. આ પારીતોષિકના સર્વપ્રથમ વિજેતા “Maximum City : Bombay Lost and Found” નાં લેખક શ્રી. સુકેતુ મહેતા છે. સુકેતુ અંગ્રેજીમાં લખે છે.

કવિતાને જીવતી રાખવી હોય તો એને સંગીત વડે મઢી દો. વ્યવસાયે વકીલ એવા અમર ભટ્ટ ગુજરાતી કવિતાઓને સંગીતે મઢવાનું ઉમદા કામ કરી રહ્યા છે. રાત્રે સાડા નવે અમર ભટ્ટનો સંગીત સમારંભ શરુ થયો. વાંચવામાં નીરસ લાગતી કવિતાઓ પણ સંગીતના સુરે રસિક બની જતી હોય છે. એમાય કંઠ ભળ્યો ડૉ. દર્શના ઝાલા, કૃશાનું મજમુંદાર, ફોરમ શાહ, જયેશ શાહ અને અમર ભટ્ટ વગેરેનો પછી એમાં કાઈ પૂછવા જેવું હોય નહિ. રાત્રે મોડો આ કાર્યક્રમ પૂરો થયો. જય વસાવડા ન્યુયોર્ક અને લીબર્ટી સ્ટેચ્યુની મુલાકાત લઈને આવી પહોંચ્યા હતા. ભારતથી આવેલા મહેમાનોને આજ હોટેલમાં રૂમો અપાઈ હતી. ન્યુ જર્સી સિવાય અન્ય સ્થળે અમેરિકામાં વસવાટ કરતા સાહિત્યપ્રેમી મિત્રોને આ હોટેલમાં રહેવું હોય તો ઓછા ભાવે રૂમો આપવામાં આવી હતી. વૈચારિક આદાનપ્રદાન કરવાનો આ ઉત્તમ મોકો હતો. જયભાઈ જોડે થોડી વાતચીત કરી હું પણ ઘેર જવા રવાના થયો, કારણ સવારે વહેલું આવવાનું હતું.

દર્શક
દર્શક

શનિવારે સ્વાગત ઉદબોધન પછી તરત ‘દર્શક’: મહામના સર્જક, પ્રાજ્ઞ ચિંતક અન્વયે મુખ્ય મહેમાન શ્રી. મનસુખ સલ્લા સાહેબનું સુંદર વ્યાખ્યાન હતું. એમણે દર્શક વિષે ખુબ વાતો કરી. દર્શકના ચિંતન વિષે ઘણું જાણવા મળ્યું. દર્શક એક નેતા હતા છતાં એક સાહિત્યકાર પણ હતા. આવું કૉમ્બિનેશન બહુ ઓછું જોવા મળતું હોય છે. શિક્ષણ ક્ષેત્રે પણ એમનું બહુ મોટું પ્રદાન હતું. દર્શકનો વાંચન પ્રેમ પણ અદ્વિતીય હતો. દર્શક એકવાર કલકત્તા ગયેલા. ત્યાં લાયબ્રેરીમાં એમને એક પુસ્તક વાંચવું હતું. પુસ્તક બહાર લઈ જવાની મનાઈ ફરમાવી તો બીજા મિત્રો કલકત્તા જોવા ગયા પણ દર્શકે તે પુસ્તક લાયબ્રેરીમાં બેઠા બેઠા જ વાંચી નાખ્યું. દર્શક કહે છે વાંચન પણ એક તપ છે. વાંચન વિષે આ વાક્યમાં બધું આવી ગયું તેવું મને લાગે છે.

મુખ્ય મહેમાનના ઉદબોધન અને એમની સાથેની પ્રશ્નોત્તરી પછી સાહિત્યની દુનિયા નામની પ્રથમ બેઠક શરુ થઈ એનું સંચાલન શ્રી. અશોક મેઘાણી કરી રહ્યા હતા. ‘વાર્તાઓનું અમરત્વ : શૃંગાર અને શૌર્ય’ વિષય લઈને બોલવા ઉભા થયા જય વસાવડા. બબ્બે વાક્યે તાળીઓ નાં પડાવે તો જય વસાવડા નાં કહેવાય. શૃંગાર અને શૌર્ય સાથે સાથે ચાલતા હોય છે. આમેય શુરવીરોને સ્ત્રીઓ પ્રથમ વરતી હોય છે તે હકીકત છે. શૌર્ય ઉપર સુંદરતા ઓળઘોળ થતી હોય છે. જય વસાવડાના પ્રવચનમાં એમનું વિશાળ અને વૈવિધ્યસભર વાંચન છલકાઈ ઉઠતું હોય છે. ત્યાર પછી શ્રી. સૌમ્ય જોશી એમની કવિતા લઈને આવ્યા. સૌમ્ય પણ એવો જ જબરદસ્ત સર્જક છે. એ કવિ, નાટ્યલેખક, દિગ્દર્શક, અભિનેતા, સંગીતકાર અને લટકામાં અંગ્રેજીનો પ્રોફેસર પણ છે. સૌમ્ય ખૂનમાં કલમ ઝબોળીને લખતો હોય તેવું લાગે છે. એની કવિતા મારફાડ હોય છે. ત્યાર પછી ફરી સૂર શબ્દનું સહિયારું કરતા અમર ભટ્ટે રંગ જમાવ્યો.

ભોજન પછી ફરી થી મુખ્ય મહેમાન શ્રી. મનસુખ સલ્લાનું પ્રવચન હતું વિષય હતો ‘સોક્રેટિસ’માં દર્શકનું જીવન દર્શન. ત્યાર પછી ગુજરાતથી untitled876આવેલા મહેમાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી. ધીરુ પરીખનું પ્રવચન હતું. ધીરુભાઈ કવિ, વાર્તાકાર, વિવેચક અત્યંત સફળ અધ્યાપક પણ ખરા. ‘કવિલોક’ અને ‘કુમાર’ બંનેનું તંત્રીપણું સાથે સંભાળતા. એમણે ગુજરાતી સાહિત્ય પરિષદની કામગીરી વર્ણવી. ત્યાર પછી શ્રી. બળવંત જાની  આવ્યા. બળવંત જાની જબરદસ્ત સંશોધક છે. લોકસાહિત્ય, ચારણીસાહિત્ય, સંતસાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ડાયાસ્પોરા સાહિત્યના સંશોધક, વિવેચક તેમજ સંપાદક બળવંત જાનીના આ વિષયોના ૧૦૦ થી વધુ પુસ્તકો પ્રગટ થયા છે. ગુજરાત બહાર વિદેશોમાં ઘણા બધા ગુજરાતી સામયિકો પ્રગટ થતા હોય છે અને આ વિદેશી ગુજરાતી સામયિકોનું ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન છે પણ તેની નોંધ ગુજરાતમાં લેવાતી નથી તે બહુ મોટી દુખદ વાત છે. બળવંત જાનીએ જણાવ્યું કે અમેરિકામાં ૨૦ જેટલા ગુજરાતી સામયિકો પ્રગટ થાય છે. ગુજરાત દર્પણ, સંધિ, ગુર્જરી, તિરંગા જેવા અનેક સામયિકો અહી પ્રગટ થાય છે. ત્યાર પછી વિદેશમાં ગુજરાતી સામયિક સંપાદન અને પ્રકાશન વખતે પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓની વાત લઈને શ્રી. બાબુ સુથાર અને શ્રી. કિશોર દેસાઈ આવ્યા. ડૉ. બાબુ સુથાર સંધિ સામાયિકના સંપાદક છે. યુની ઓફ પેન્સીલ્વેનીયામાં ભાષાશાસ્ત્રના અધ્યાપક એવા બાબુ સુથાર કવિ, વિવેચક, વાર્તાકાર, નવલકથાકાર અને ભાષાવિજ્ઞાની છે. આ બાબુભાઈ કોઈની સાડીબારી રાખે નહિ. ગમે તેવા મહારથી હોય બાબુભાઈ એની ભૂલ હોય તો બતાવ્યા વગર રહે નહિ. શ્રી. કિશોર દેસાઈ ઇલેક્ટ્રિક એન્જિનિયર હતા. ગુર્જરી ડાયજેસ્ટ’ ગુજરાતી ત્રૈમાસિક એમણે ૨૬ વર્ષ પહેલા શરુ કરેલું. એમણે બહુ ઉત્તમ વાત કહી કે ઊંચું સાહિત્ય વાચ્યા વગર ઉત્તમ લેખક બની શકાય નહિ. ત્યાર પછી આવ્યા ‘સંગીત શા માટે?’ વિષય લઈને શ્રી. વિરાફ કાપડિયા. ઈજનેરી કારકિર્દીમાંથી નિવૃત્ત થયેલા વિરાફ બહુ સરસ કવિ છે. વિરાફ નિબંધ લખે પણ એમાં કવિતા છલકાયા વગર રહે નહિ. નિબંધ વાંચે તો એમાં પણ કવિતાનો લય રેલાય.

રાત્રી ભોજન બાદ સૌમ્ય જોશી અને જિજ્ઞા વ્યાસે તો તોડી નાંખ્યાં તબલા ને ફોડી નાખી પેટી જેવું કર્યું. એટલો બધો જલસો કરાવી દીધો કે નાં પૂછો વાત. આ અભિનયમાં સમર્થ બેલડીએ અભિનય સાથે કેટલાક સંવાદો વાંચીને શ્રોતાઓને રસમાં તરબોળ કરી નાંખ્યાં. જિજ્ઞા વ્યાસે સરસ એકોક્તિ રજુ કરી. પછી એમના એક નાટકનો એક અંશ પ્રસ્તુત કરી એટલા બધા હસાવ્યા કે ના પૂછો વાત. એમની પ્રસ્તુતિ પૂરી થતા તો આખું ઓડીયન્સ ઊભું થઇ ને તાળીઓના ગડગડાટ કરવા લાગેલું.

photo16
જીજ્ઞા, સૌમ્ય, અમર ભટ્ટ , જય

સૌમ્ય મનસુખ સલ્લા, લોહીથી લથપથ કવિતા કરતો સૌમ્ય, હસતા હસતા લાફા ઝીંકતી જિજ્ઞા, જય હો જય વસાવડા, વિરાટ કવિ વિરાફ કાપડિયા, અગસ્ત્ય અમર ભટ્ટ, મિલાપનાં મહારથી મહેન્દ્ર મેઘાણી, અહર્નિશ હસાવતા હરનીશ, રમૂજી રામભાઈ, અમેરિકન મીરાંબાઈ પન્ના નાયક, સોનેટ કિંગ નટવર ગાંધી આવા તો કાઈ કેટલાય મહાનુભવોને મળવાનું બન્યું એમના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું તે એક ચિરસ્મરણીય ઘટના બની રહેવાની છે.

રવિવારે ઍકેડેમીના સભ્યોની સભા હતી. પછી સ્થાનિક સર્જકોને એમની કૃતિઓ વાંચવા મળવાની હતી. એનું સંચાલન શ્રી. અશોક વિદ્વાંસનાં હાથમાં હતું. બધા પોતપોતાની કવિતાઓ, ટૂંકી વાર્તાઓ, હાયકુ વગેરે રજુ કરતા હતા. મારો પણ વારો હતો. મેં સંઘર્ષ ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ વિષય પર મારો નિબંધ રજુ કરેલો. ઘણાના માથા ઉપરથી નીકળી ગયો તો ઘણાને ખુબ ગમ્યો. ભોજન દરમ્યાન એક જ ટેબલ પર વિરાફ કાપડિયા, નવનીતભાઈ, સુબોધભાઈ અને બાબુ સુથાર સાહેબ જેવાના સાંનિધ્યમાં બેસવાનું મળ્યું. આવા સમયે આપણે રામ ગુડ લિસનર બની ને બેસી રહેવામાં માનીએ છીએ. એનાથી ખુબ ફાયદો થાય છે. એક તો આપણું ડહાપણ ડહોળવાનું બંધ હોય એટલે વિદ્વાનોની વાતો સાંભળી એમાંથી મલાઈ તારવી લેવાની આવડત કેળવાય છે. ભોજન બાદ ગચ્છન્તિ કરવાનું હતું પણ જવાનું મન થતું નહોતું. ત્રણે દિવસ નવનીતભાઈ અને સુબોધભાઈની પ્રેમાળ કંપની મળી હતી. એટલે હજુ થોડું વધુ સાથે બેસીએ તેવું થયા કરતુ હતું. જયભાઈ પ્રિન્સ્ટન યુનિવર્સિટી જોવા ગયા હતા, જ્યાં આઇન્સ્ટાઇન પ્રોફેસર હતા. હોટેલથી આ યુની બહુ દૂર નહોતી. એમનો સમાન પણ સમેટવાનો હતો. અમે એમનાં આવવાની રાહ જોતા નીચે લોબીમાં બેઠા ગપાટા મારતા હતા. એવામાં જયભાઈ હાથમાં પુસ્તકોના થેલા લઈને આવ્યા. લેખકનો મુખ્ય ખોરાક પુસ્તકો હોય છે. લગભગ પચીસેક હજારના પુસ્તકો પ્રિન્સ્ટન યુનિવર્સીટીનાં બુક સ્ટોરમાંથી ખરીદી લાવ્યા હશે. ઉત્તમ અને વૈવિધ્યપૂર્ણ પુસ્તકો વાંચવા તે એક ઉત્તમ લેખક માટે વસાણું છે. જય વસાવડાની અદ્વિતીય અને પ્રચંડ લોકપ્રિયતાનું રહસ્ય આ પુસ્તકોમાં રહેલું છે. તમે ગમે તેટલા સંવેદનશીલ હો, પણ એ સંવેદનાને યોગ્ય શબ્દોમાં ઢાળી નાં શકો તો સારા કવિ કે લેખક ક્યાંથી બનવાના હતા ?photo14

અશોક મેઘાણી
અશોક મેઘાણી

જયભાઈનો સામાન સમેટીને મારી કારમાં મુકતા મુકતા શ્રી અશોક મેઘાણી મળી ગયા. મને ખુબ અભિનંદન આપ્યા કે મારો લેખ એમને ખુબ ગમેલો. એમની નમ્રતા જુઓ કે તે પણ સમાન ઉચકીને ગોઠવવા લાગેલા. નવમું સાહિત્ય સંમેલન યાદગાર બની રહેવાનું હતું. છેલ્લે સુબોધભાઈ અને નવનીતભાઈ જેવા પ્રેમાળ મિત્રોને આવજો કહી જયભાઈને લઈ મેં કાર ઘર તરફ મારી મૂકી….

સમાપ્ત….

નોંધ : મિત્રો આ સાહિત્ય સંમેલનમાં મે મારો લેખ વાંચેલો તે તમારે વાંચવો હોય તો અહી ક્લિક કરો. “સંઘર્ષ ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ.”

અઢી ટ્ન હુખડનું દૉન (રેડબડ ગામગપાટા ન્યુ જર્સી-૮)

 અઢી ટ્ન હુખડનું દૉન  (રેડબડ ગામગપાટા ન્યુ જર્સી-૮)untitled

અમારી ગપાટા મંડળીમાં આજે હું શાંતિભાઈ, અંબુકાકા અને બીજા મિત્રો સાથે મારા રેડીઓ પર થયેલા વાર્તાલાપ વિષે વાત કરતો હતો. રેડીઓ ઉપર એક ગુજરાતથી આવેલા મહેમાન કિરીટભાઈ સાથે ટેલીફોનીક વાત થઈ હતી. તેઓ રેશનાલીસ્ટ છે અને વિજ્ઞાનજાથા સાથે જોડાયેલા છે. ચમત્કાર કરતા લોકો વચ્ચે જઈને પડકારે છે. વિજ્ઞાન દ્વારા એમના તુત ખુલ્લા પાડવાનું કામ કરે છે. પોતાના પૈસે પેટ્રોલ બાળીને સ્કૂલોમાં જઈને પ્રોગ્રામ કરે છે. મૂળ અમારું ગામ આમ તો મહેસાણા જીલ્લામાં જ હતું. હવે જિલ્લો ગાંધીનગર થઈ ગયો છે. મને મહેસાણી લહેકામાં બોલવાની મજા આવે છે. રેડીઓ પર અંધશ્રદ્ધાની વાત નીકળી હતી. આપણા પ્રધાનમંત્રીએ ૨૪૦૦ કિલો ઘી અને ૨૫૦૦ કિલો સફેદ સુખડનું લાકડું નેપાળના પશુપતિનાથ મંદિરમાં ભેટ ચડાવ્યું તો સામાન્ય લોકોમાં એની અસર રૂપે અંધશ્રદ્ધાને આમ ટેકો મળે કે નહિ ? આવો પ્રશ્ન કરતા કિરીટભાઈ કહે,

ચોક્કસ અસર પડે. મોટા માણસો જે કરે વાજબી હોય તેમ સમજી સામાન્યજન પર એની અસર પડે જ.  

અંબુકાકા આમ તો ધાર્મિક માણસ છે પણ કહે,

‘અંધશ્રદ્ધાની વાત બાજુ પર મુકો તો પણ ૨૫૦૦ કિલો સુખડ એટલે ૨.૫ ટન લાકડું થયું તેના માટે ઓછામાં ઓછું એક અને કદાચ બે સુખડના વૃક્ષોનો ખોડો નીકળી ગયો કહેવાય.’

શાંતિભાઈ છે સૌરાષ્ટ્રના પણ કોઈવાર મારી મજાક કરતા બોલવામાં અમારો મેહોણી લહેકો લાવી દેતા હોય છે તે કહે, ‘ મોદીએ દિયોર અઢી ટન હુખડનું દૉન આલવામાં બે હુખડના ઝાડની માં પૈણી નૉખી. ઑમેય હુખડનું ઝાડ લુપ્ત થતી ઝાડની જાતિ સઅઅ ક નઈ?

મે કહ્યું,  ‘હાચી વાત સઅઅ.. હુખડનાં ઝાડ બૌ ર યૉ નહિ.. આ હુખડની માં પૈણ્યા વગર રોકડા ૪ કરોડ રૂપિયા ચ્યૉ નહિ આલી દેવાતા ?

મહેસાણી લહેકો સાંભળી બધા જોરથી હસી પડ્યા. હવે અંબુકાકા અમારી નકલ કરતા મેદાનમાં આવ્યા. ‘દિયોર પણ ચાર કરોડ લાયો ચૉ થી ? ઈ ને સુટણી વખતે ફૉરમ ભરતાં ચાર કરોડ મિલકત તો બતાઈ નહિ..

ફરી અમે બધા હસી પડ્યા. શાંતિભાઈ કહે ચાર કરોડનું લાકડું અને આશરે ૯-૧૦ લાખનું ઘી, આ બધા પૈસા એમના ખીસામાંથી આપ્યા હોય તો વાજબી છે. બાકી એ ખર્ચ સરકારી તિજોરીમાંથી આપ્યો હોય તો પ્રજાએ ભરેલા ટેક્સના નાણા આમ વેડફવાનો મોદીને કોઈ હક નથી.

મેં કહ્યું આવું નાં બોલો આપણે મોદીના વિરોધી નથી પણ મોદીના ભક્તોની રાજકીય લાગણી અને બીજા આસ્તિક ઘેટામંડળની ધાર્મિક લાગણીઓ દુભાઈ જશે.

શાંતિભાઈ ઉશ્કેરાઈ ગયા, કહે તેલ લેવા ગઈ ધાર્મિક લાગણીઓ અમારી એ રેશનલ લાગણી દુભાઈ જાય છે તેની કોણ પરવા કરે છે ? અમારો ય જીવ બળે છે આવી અંધશ્રદ્ધાઓ જોઈ, અમારો ય જીવ બળે છે આમ પ્રજાના પૈસા વેડફતા જોઈ અમારી રીજનેબલ લાગણીઓની કોઈ પરવા કરે છે ? અમારે જ કાયમ એમની ઇરેશનલ અંધ લાગણીઓની ચિંતા કરવાની ? આ બાવાઓ સ્ત્રીઓનું શારીરિક શોષણ કરે ત્યારે અમારી લાગણીઓ દુભાઈ જાય છે તેની કોણ પરવા કરે છે ? અરે એક કણજીનું કે એક ખીજડાનું ઝાડ કપાય તો પણ અમારી લાગણી દુભાઈ જાય છે ત્યારે આતો સુખડનું કીમતી ઝાડ કપાઈ જાય છે તો અમારી લાગણી દુભાઈ કેમ નાં જાય ? ભારત સરકારે ખુદ સુખડના લાકડાની નિકાસ કરવા ઉપર મનાઈ ફરમાવેલી છે જ. કર્ણાટક રાજ્યમાં સુખડનાં તમામ વૃક્ષ રાજ્ય સરકારની મિલકત ગણાય છે. તમારી પ્રાયવેટ પ્રોપર્ટીમાં ઉગાડેલ સુખડનાં ઝાડની કાપકૂપ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની દેખરેખ નીચે જ થાય. ચંદનચોર તરીકે ઓળખાતો વિરપ્પન ગેરકાયદે ચંદનનાં વૃક્ષો કાપી વેચી નાખતો હતો.

મેં કહ્યું શાંતિભાઈ શાંત થઈ જાઓ, આ અમેરિકનો ક્રિસમસ વખતે ક્રિસમસના અસંખ્ય વૃક્ષો કાપીને ઘરમાં સજાવટ કરે છે.

ફરી શાંતિભાઈ ઉશ્કેરાઈ ગયા અને કહે, અમેરિકનો અગાઉથી પ્લાનિંગ કરે છે, આ વર્ષે જો એક લાખ ક્રિસમસનાં વૃક્ષો કપાઈ જવાની શક્યતા હોય તો એ લોકો અગાઉથી એટલા વૃક્ષો ઉછેરીને તૈયાર રાખે છે. ક્રિસમસનાં વૃક્ષોનું અહી આપણી ખેતી જેવું છે. જેટલી જરૂરીયાત હોય તેટલી ખેતી અગાઉથી કરી નાખવાની.

મેં કહ્યું વાત તો સાચી છે. જંગલ કોને કહેવાય તે મેં આ દેશમાં આવીને જોયું. આપણે ત્યાં કૂતરાં ગાડીઓ નીચે આવીને મરી જતા હોય છે. જ્યારે અહીં હરણ ઓચિંતા ગાડીઓ સામે આવી જાય છે.

હવે અમ્બુકાકાનો વારો આવ્યો તે કહે એડ્યુકેશનનાં અભાવે લોકો બહુ અંધશ્રદ્ધાળુ હોય છે તેવું મારું માનવું છે.

મેં કહ્યું તદ્દન ખોટી વાત છે, આજે જ મારા એક સુજ્ઞ ફેસબુક મિત્ર વડોદરાના દિલીપકુમાર મહેતાએ એક બીજા મિત્રની પોસ્ટ નીચે વિચારવા જેવો પ્રતિભાવ મુક્યો હતો, ઉભા રહો મારા આઈફોનમાં ખોલીને વાંચી બતાવું.

મેં મારા આઇફોનમાં ફેસબુક ખોલીને દિલીપકુમાર મહેતા સાહેબનો પ્રતિભાવ વાંચવા માંડ્યો. દિલીપભાઈ લખે છે,                

“લગભગ પાંચ વર્ષની વયે મને અને મારી મોટી બહેનને એકી સાથે શીતળાનો રોગ થયેલો… બચી ગયા ! આ દેશમાં જેટલા માથા એટલા માતાજી છે, પથ્થર એટલા દેવ છે, અને હવે જ્યોતિષીઓ, વાસ્તુ શાસ્ત્રીઓ નગરી નગરી દ્વારે દ્વારે છે. સાહેબ, કાલે હું વડોદરામાં જ્યોતિષ અને વસ્તુ શાસ્ત્રનો ધંધો શરુ કરું તો બે -ત્રણ વર્ષમાં ૫૦ લાખ -કરોડની કમાણી સહેલાઈથી થઇ શકે તેમ છે. ઉના, મહુવા ,રાજુલાના ઘણા ગરીબ બ્રાહ્મણો અહી આવીને બે પાંદડે જ નહિ , પાંચ પાંદડે થયા છે ! પ્રશ્ન એ છે કે જે લોકો ઉચ્ચ શિક્ષણ પામેલા છે, વૈજ્ઞાનિક અભિગમ ધરાવે છે, વાત વાતમાં વિજ્ઞાનની વાતો કરે છે, એ બધા આવા પોકળ પંડિતો આગળ કેમ ખોળો પાથરે છે ? વાસ્તુશાસ્ત્રીઓ, જ્યોતિષીઓ, તાંત્રિકોના ઘરના પગથીયા કેમ તેઓ સાવ ઘસી નાખે છે ? શું એમને ખબર નથી કે કહેવાતા જ્યોતિષીઓ માત્ર તુત ચલાવે છે ? આ બાબતમાં નરેન્દ્ર મોદી પણ અપવાદ નથી, બોલો શું કહેશો પેલા ગામડાના ભોળા ખેડૂતને ? ભલા માણસ, ઉપગ્રહો છોડવા માટેના પણ શુભ મૂહર્ત જોવાના ? ગામડા કરતા મને શહેરના લોકો એક સો ગણા અંધશ્રદ્ધાળુ લાગ્યા છે ! આજે હું જ્યોતિષનો વિરોધ કરું છું ત્યાં પ્રકાશ કોઠારી, કાંતિ ભટ્ટ જેવા મને મુરખો ગણે છે ! જ્યોતિષના વિરોધી સૌરભ શાહ પણ જેલવાસ ભોગવ્યા બાદ એક જ્યોતિષ પાસે આંટો મારીને આવેલા તેવું સાંભળ્યું છે ! ઓક્સફોર્ડમાં ભણેલા ઈન્દિરાજી નંબર વન તાંત્રિક પ્રેમી અને જ્યોતિષ પ્રેમી હતા. આ બધા કરતા મને મારા પિતાજી બહુ ગમ્યા. એમની પાસે ગામની કોઈ સ્ત્રી આવતી અને પોતાની સમસ્યા રજુ કરતી ત્યારે કહેતા, બેન, હું કઈ જાણતો નથી, બધું ઈશ્વરનું જ ધારેલું થાય છે, બસ મારા પિતાનો આ મંત્ર મેં જીવનમાં પૂરે પૂરો ઉતાર્યો છે.”

મેં વાંચવાનું પૂરું કર્યું અને બધા સામે જોવા લાગ્યો. અંબુકાકા બોલ્યા કાનની બુટ પકડું છું દિલીપભાઈની વાત તદ્દન સાચી છે, પણ આ પ્રકાશ કોઠારી, કાંતિભટ્ટ અને સૌરભ શાહ છે કોણ?

મેં કહ્યું, ‘પ્રકાશ કોઠારી સેક્સોલોજીસ્ટ સેક્સ વિષે વૈજ્ઞાનિક સમજ આપતી કોલમ લખતા, જ્યારે કાંતિભટ્ટ અને સૌરભ શાહ બંને છાપાઓમાં લખતા કટાર લેખકો છે.’

પણ આ સૌરભ શાહ જેલમાં ગયેલા તેવું કેમ લખ્યું છે ?

એ મને ખબર નથી એ બાબતે દિલીપભાઈને પૂછવું પડે.

શાંતિભાઈ કહે ગરીબની વહુ સહુની ભાભી, ગરીબની શ્રદ્ધા અંધશ્રદ્ધા કહેવાય જ્યારે અમીરની કે મોટા માણસોની અંધશ્રદ્ધા ભક્તિભાવ કહેવાય, અધ્યાત્મ કહેવાય, જેટલો એમાં વધારે ગાંડા કાઢે તેટલો હંસ નહિ પણ પરમહંસ કહેવાય.

અમે બધા હસી પડ્યા. અંધારું થઈ ગયું હોવાથી બધા પોતપોતાના ઘેર જવા હસતા હસતા છુટા પડ્યા.   

એક સારું ભણે અને બીજો નહિ. એક માતાની વ્યથા (રેડબડ ગામગપાટા, ન્યુ જર્સી-૪)

imagesLN4U7TBBએક સારું ભણે અને બીજો નહિ. એક માતાની વ્યથા (રેડબડ ગામગપાટા, ન્યુ જર્સી-૪)

 આજે ગામગપાટા મંડળીમાં શાંતિભાઈ આવે તો ગહન ચર્ચા કરવી હતી, પણ શાંતિભાઈ જરા મોડા પડ્યા હતા. શાંતિભાઈ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના અને ત્યાં કોઈ સ્કૂલમાં હાયર સેકન્ડરીમાં મનોવિજ્ઞાન ભણાવતા હતા. શાંતિભાઈ આવ્યા એટલે મેં તરત સવાલ કર્યો.

શાંતિભાઈ,  ‘એક ઘરમાં બે દીકરા હોય એક સારું ભણે સારી જૉબ લાગી જાય અને બીજો હોશિયાર હોવા છતાં ભણવામાં થોડો પાછળ પડે એટલે માબાપને ચિંતા થાય, એમની ઉછેરમાં ક્યાં ભૂલ થઈ તેવું વિચારતા હોય છે. પણ આમ થવાનું શું કારણ?’

પાંચ આંગળીઓ સરખી હોય ખરી? શાંતિભાઈ ધડામ દઈને બોલ્યા.

મેં કહ્યું શાંતિભાઈ શાંતિથી ઉત્તર આપો યાર મારે જરા વિગતથી જાણવું છે.

શાંતિભાઈ હસી પડ્યા, કહે શાંતિભાઈને શાંતિ રાખવાનું કહેવું પડે છે કેવો જમાનો આવ્યો છે નહિ?

મૂળ શાંતિભાઈ નામ પ્રમાણે શાંતિ રાખવાવાળા જ છે પણ મને એમને ચીડવવાનું ગમે એટલે કાયમ વાતે વાતે શાંતિ રાખો શાંતિ રાખો એવું કહ્યાં કરું. ઘણીવાર મને કહે મેં સવિતા રાખી છે હવે શાંતિ માટે જગ્યા નથી અને બે રાખું તો મારે જવું ક્યાં?

મેં હસતા હસતા કહ્યું શાંતિભાઈ એક ઓળખીતા બહેનની ફરિયાદ છે, એમને બે દીકરા છે. મોટો ભણીને કમ્પ્યુટર એન્જીનીયર બની યુ.કે.માં સારી જૉબ કરે છે. બીજો દીકરો આમ હોશિયાર હોવા છતાં ભણવામાં દસમાં ધોરણ પછી અચાનક પાછળ પડી ગયો છે. એને એન્જીનીયર બની પરદેશ જવું છે યુ.કે. અથવા અમેરિકા. માબાપ પૈસા ખર્ચવા સક્ષમ છે પણ એનું ભણવાનું દિવસે દિવસે કથળતું જાય છે. હવે આવા નબળા પર્ફૉર્મન્સ સાથે પરદેશ કઈ રીતે મોકલવો? પૈસા હોય પણ નાહક બરબાદ કરવા માટે થોડા હોય?

શાંતિભાઈ મૂળ શિક્ષક જીવ એકવાર કેસેટ શરુ થાય પછી બંધ કરવી મુશ્કેલ, પણ એમાંથી જાણવાનું ખૂબ મળે ઘણીવાર કેસેટ બંધ નાં થાય તેવું ઇચ્છીએ પણ ખરા.

શાંતિભાઈએ શરુ કર્યું, ‘ ઘણા દાખલામાં એવું બને છે કે સ્કૂલ લેવલ સુધી છોકરાં બહુ હોશિયાર હોય છે. પણ કૉલેજમાં આવ્યા પછી ડલ પડી જતા હોય છે. ઘણાને એની શરૂઆત દસમાં ધોરણ પછી પણ થઈ જતી હોય છે. મતલબ છોકરાં હોશિયાર તો છે જ પણ કૉલેજમાં કશું એવું થાય છે કે છોકરાં ભણવામાં પાછળ પડી જાય છે. ઘણા બધા કારણો હોઈ શકે. એક તો બાળકો યુવાનીના દ્વારે આ સમયે ટકોરા મારતા હોય છે તે સમયે શરીરમાં થતા હાર્મોનલ ફેરફાર બાળકોની માનસિકતા અસ્થિર કરી નાખતા હોઈ શકે. આ ફેરફાર ખાસ તો જાતીય આવેગો અને એના વિશેની અણસમજ બાળકોને સ્વાભાવિક અસ્થિર બનાવી દેતી હોય છે. જો કે ઘણા બાળકો આ બધું સહન કરી લેતા હોય છે અને ડગતા નથી તે લોકોના રિઝલ્ટમાં બહુ ફેરફાર જોવા મળે નહિ. આ બધું બાળકની માનસિકતા પર આધાર રાખતું હોઈ શકે છે. એટલે સ્કૂલમાં બહુ હોશિયાર ગણાતું બાળક કૉલેજમાં અસફળ રહેતું પણ જોવા મળતું હોય છે. બીજું સ્કૂલ અને કૉલેજનું આખું વાતાવરણ જુદું હોય છે, કૉલેજમાં સ્વતંત્રતા વધુ હોય છે. આમાં પણ બાળક સ્થિર મગજ ધરાવતું નાં હોય તો મિત્રોને રવાડે ચડી જવાનો ભય પણ રહેતો હોય છે. મિત્રો બહુ મોટો ભાગ ભજવતા હોય છે. એક વિદ્યાર્થી માટે સ્કૂલના સહાધ્યાયીઓ એમનો સમૂહ છે. અને મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા હોય છે. સમૂહ બહાર કોઈ ધકેલી દે તો એમનું મેમલ બ્રેન થ્રેટ અનુભવતું હોય છે. માટે સામાજિક સ્વીકાર મેળવવા માટે છોકારાઓ એમના ગ્રૂપના લીડરને અનુસરતા હોય છે અથવા એમના પ્રભાવમાં જીવતા હોય છે. હવે આ ગ્રૂપ લીડર જો સારો હોય તો બરોબર એના મિત્રોને વધુ સારું ભણવા પ્રેરી શકે અથવા પોતે રખડેલ હોય તો અવળે રસ્તે પણ ચડાવી શકે. માબાપે એમના સંતાનના મિત્રો કેવાં છે તેનું બહુ મોટું ધ્યાન રાખવું જરૂરી છે. ડોમિનન્ટ બગડેલા મિત્રો ભલભલાં હોશિયાર છોકરાને રિઝલ્ટમાં ધબડકો વાળવા કારણભૂત અવશ્ય બનતા હોય છે.’

મેં કહ્યું એ વાત સાચી મારો એક મિત્ર સ્કૂલમાં બે ધોરણ તે સમયની સગવડ મુજબ એક વર્ષમાં પતાવતો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું એમ ચાર ધોરણ એણે ફક્ત બે વર્ષમાં પતાવી દીધેલા પણ શહેરમાં ભણવા મૂક્યો ને મિત્રોને સંગે ફિલ્મો જોવાના રવાડે ચડી ગયો તે અગિયારમાં ધોરણમાં નાપાસ થયેલો.

હવે અંબુકાકાનો બોલવાનો વારો આવ્યો. અંબુકાકા કહે,  ‘સાચી વાત કહું તો બધા છોકરાં સાહેબ બની જશે તો પટાવાળી કોણ કરશે? પછી કહે મજાક કરું છું બાકી કોઈ માબાપ એવું નાં ઇચ્છે કે તેના સંતાન સાવ નિમ્ન કક્ષાની જૉબ કરે. પણ બધા છોકરાનું બુદ્ધિનું તત્વ સરખું ના હોય. બુદ્ધિ ના હોય તેવું નથી કહેતો પણ એનો માર્ગ જુદો હોય, એના રસના વિષય જુદા હોય પણ એને સમજ પડી નાં હોય કે એના રસના સબ્જેક્ટ કયા છે અને બીજી કોઈ લાઈનમાં જતો રહે તો ધબડકો વળી જાય.’

મેં કહ્યું કાકા એ વાત સાચી ઘણીવાર સમજ પડતી નથી તે સમયે કે આપણા રસના મનગમતાં વિષય કયા છે, આજે મને લાગે છે કે હું તે સમયે કૉમર્સના બદલે બાયોલોજીમાં ગયો હોત તો વધુ સારું ભણી શક્યો હોત. પણ તે વાત મને આજે ૫૫ વર્ષે ખબર પડે તો શું કામની? બીજું આજે હું ત્રણેક વર્ષથી આર્ટિકલ આખું છું જો મને ૧૫-૨૦ વર્ષ પહેલા ખબર પડી હોત કે મારામાં લેખક બનવાની ક્ષમતા છે તો ??

અંબુકાકા કહે એક તો ઘરમાં બધા છોકરાં બહુ ઊંચું ભણી નાખે તે જરૂરી નથી એકાદ સરખું નાં ભણે તો તે હોશિયાર નથી તેવું માની લેવું નહિ અને તે બાબતે માબાપે ગિલ્ટી ફિલ કરવાની જરૂર નહિ અને ખાસ તો તે છોકરાને એવું નાં લાગવું જોઈએ કે માબાપ તેના સારા રિઝલ્ટ નાં આવવાથી તેને નફરત કરે છે. આમ તો માબાપ બાળકને નફરત કરે નહિ પણ ઇન્ગોર કરે અથવા નારાજગી બતાવે પણ બાળકને અચેતન રૂપે લાગે કે માબાપ તેનાથી નારાજ છે.

યસ ! આ વાત બહુ મહત્વની કરી કે સંતાનને એવું ના લાગવું જોઈએ કે માબાપ તેને નફરત કરે છે અથવા નારાજ છે.

હવે શાંતિભાઈ પાછાં થાક ખાઈને તૈયાર થઈ ગયા હતા. એમણે કહ્યું, ‘ મારા એક મિત્ર હતા તેમનો સૌથી મોટો દીકરો મેટ્રિકમાં દસેક વાર પરીક્ષા આપી પણ પાસ થયો નહોતો. જ્યારે બીજો દીકરો પીએચડી સુધી ભણેલો. હતા બંને હોશિયાર પણ આવું કેમ બન્યું તે એક કોયડો છે. અને આ મેટ્રિકમાં દસ વાર નાપાસ થયેલા દીકરાનો દીકરો આજે વૈજ્ઞાનિક છે બોલો કહેવું છે કાઈ?

મેં કહ્યું ચાલો રવીન્દ્રનાથ ટાગોર ની સ્ટોરી કહું જે બહુ લોકોના ધ્યાનમાં નથી. રવીન્દ્રનાથ ટાગોર બહુ મોટા જમીનદાર ફૅમિલીના હતા. ટાગોરના કાકા-બાપા બધા ભાઈઓનું બહુ મોટું બહોળું કુટુંબ સંયુકતપણે રહેતું હતું. ઘરમાં ઘણા બધા બાળકો એકસાથે ઊછરતા હતા. હવે આ નાના બાળકો મોટા થઈને શું બનશે શું ભણશે તે વિષે અંદાજ મારીને ઘરના દરેક મોટા સભ્યોએ એક ડાયરીમાં લખવાનું તેવો નિયમ ટાગોરના પિતાશ્રીએ બનાવેલો. ઘણા બધા બાળકો હતા બધા તેજસ્વી હતા ભણવામાં. કોઈ લખતું કે આ બાળક જજ બનશે કે આ વકીલ બનશે, પણ રવીન્દ્રનાથ વિષે લખવું મુશ્કેલ હતું. રવીન્દ્રનાથ આખો દિવસ ખેતરો અને નદી કિનારે રખડી ખાતા અને રમ્યા કરતા. ભણવામાં એમનું ચિત્ત ચોટતું નહોતું. બાળક ગમે તેવું હોય પણ એની માતા એના વિષે હમેશાં ઉચો ખ્યાલ રાખતી હોય ભલે બીજાને ડફોળ લાગે. માતાને એનું બાળક ખૂબ વહાલું હોય છે. વિડમ્બના એ હતી કે રવીન્દ્રનાથનાં માતા પણ એમના વિષે બહુ સારો ખ્યાલ ધરાવતા નહોતા. એમણે પેલી ડાયરીમાં લખેલું કે રવીન્દ્રનાથ માટે મને કોઈ આશા નથી. એક માતા જ્યારે આવું લખે તો વાત પતી ગઈ. હવે આજે આપણે જાણીએ છીએ કે આવડા મોટા ફૅમિલીના ખાલી રવીન્દ્રનાથને આપણે ઓળખીએ છીએ બીજા તેજસ્વીઓને કોઈ જાણતું પણ નથી. એમના મોટાભાઈ તો જજ હતા ને અમદાવાદમાં જજ તરીકે ફરજ બજાવી ચૂકેલા પણ ખરા.

હવે અત્યાર સુધી ચુપચાપ વાતો સાંભળતાં કમળાબેન બોલ્યા કે ભાઈઓ ગમેતેટલી ફિલોસોફી ફાડો પણ માતાને તો દુઃખ થાય થાય ને થાય અને ચિંતા પણ થાય જો એક દીકરો સારું ભણે અને બીજો નાં ભણે તો. મેં કહ્યું એની કોણ નાં પાડે છે? ચિંતા કરવી અને અપરાધભાવ અનુભવવો એ બેમાં ફેર ખરો કે નહિ?

શાંતિભાઈ બોલ્યા હમણાં વરસ પહેલા હું ભારત ગયેલો ત્યારે એક મિત્રની દીકરો કહે કાકા મને અમેરિકા લઈ જાવ ગમે તેવી જૉબ કરીશ પણ પૈસા કમાવા છે વેઇટર બનીશ પણ ડોલર જોઈએ. તો મેં જવાબ આપ્યો ડફોળ વેઇટર બનીને કમાઇશ એના કરતા કમ્પ્યુટર એન્જીનીયર બનીને વધુ કમાઈ શકીશ સારું ભણી લે અને એચ-વન વિઝા પર ત્યાં આવી જા, પણ પહેલા સારું ભણી લે.

મેં કહ્યું વાત મુદ્દાની કરી. ચાલો હવે ભાગીએ આજે તો વાતોમાં બહુ મોડું થઈ ગયું, કાલે મળીશું.    imagesWBT4EBPE

સ્વાર્થી જિન્સ (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી-૪)

સ્વાર્થી જિન્સ (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી-૪)

અમારી ગામ ગપાટા મંડળીનાં સભ્ય મંજુબેનની પૌત્રીને દૂધ છોડાવવાની બાબતમાં જે ચર્ચા થયેલી તે પ્રમાણે શાંતિભાઈએ માતાનું દૂધ કેટલું મહત્વનું છે તાજાં જન્મેલાswami-vivekananda-DM70_l બાળક માટે તે વિષયક માહિતીની અમુક લિંક ઈ-મેલ દ્વારા મંજુબેનને મોકલી આપી હતી. તે બધી લિંક એમણે એમની પુત્રવધૂ ને ફૉર્વર્ડ કરેલી. એની ધારી અસર ઊપજી હતી. આજની પેઢી ખુલ્લા મનની છે તેના ગળે વાત ઊતરે તો પછી પ્રમાણિકપણે એનો અમલ કરે જ. પણ આ પેઢીને હવે હમ્બગ વાતોમાં રસ પડતો નથી, નક્કર વૈજ્ઞાનિક સંશોધન આધારિત વાત હોવી જોઈએ. આમ આજની પેઢી મોટાભાગે રેશનલ બનતી જાય છે.

આજના નાના છોકરાને કહીએ કે હનુમાનજી સૂર્યને નારંગી સમજી તોડવા માટે આકાશમાં કૂદેલા અને પડી ગયા તો હડપચી ભાગી ગઈ એટલે હનુમાન કહેવાયા તો હસવાનો જ છે. કહેશે બાપા શું ગપ્પા મારો છો?

મંજુબેને આવતાવેત ખુશ થઈ ને સમાચાર આપ્યા કે એમની પુત્રવધૂ  એ હમણાં દૂધ છોડાવી દેવાનું મુલતવી રાખ્યું છે. શાંતિભાઈ કહે આપણે સીધેસીધું ગમે તેટલું કહીએ દાખલા દલીલો કે સંશોધનના હવાલા આપીએ પણ માનત નહિ અને આ લિંક વાંચી કેવું માની લીધું? મેં કહ્યું સાચી વાત છે આ બધું મન ઉપર જાય છે. હમણાં કોઈ ગુરુજી કહે તો આપણે કેવાં અંધ બની માની લઈએ છીએ? માણસના મનનો તાગ મેળવવો અઘરો છે. જેટલા માણસ એટલાં મન અને જેટલા મન એટલી સાયકોલોજી.

આજે નિકિતા સમાચાર લાવી હતી કે આશારામ બાપુના આશ્રમમાં દરોડા પાડતા ૪૨ પોટલાં મળ્યા એમાં ૧૦,૦૦૦ કરોડની સંપત્તિ ને લગતા દસ્તાવેજો હાથ લાગ્યા છે.

મેં કહ્યું, ‘ આ તો થવાનું જ હતું, આ બાવાઓ તમને ભૌતિકવાદી બનશો નહિ તેવી શિખામણો આપશે પણ તેઓ ધનના ઢગલા ભેગાં કરતા રહેવાના. આટલી સંપત્તિ ના મળી હોય તો નવાઈ લાગે. મૂળ આની પાછળ આપણું એનિમલ બ્રેન જવાબદાર છે. એનિમલ બ્રેન આગળ બધી ફિલોસોફી અને આદર્શોની ગળી ગળી વાતો હવાઈ જતી હોય છે.’ નિકીતા બોલી આમાં એનિમલ બ્રેન ક્યાં આવ્યું?

મેં કહ્યું, ‘ એનિમલ બ્રેન હમેશાં સર્વાઈવલ અને રીપ્રોડક્શન વિષે શોચતું હોય છે. માનવો પાસે એનિમલ બ્રેન સાથે મોટું વિચારશીલ બ્રેન પણ છે માટે રીપ્રોડક્શનને પ્રમોટ કરતી તમામ બાબતોની પાછળ મોટા બ્રેનનો સહારો લઈને માનવ મગજ જાતજાતના નુસખા શોધી પડેલું રહેતું  હોય છે. એક તો સમાજમાં પ્રથમ હોય, આલ્ફા હોય તેને જ રીપ્રોડક્શન માટે ફિમેલ મળે અને ફિમેલ પણ બળવાન જિન્સ સાથે વિપુલ રીસોર્સીસ જેની પાસે હોય તેને જ પસંદ કરે. બસ ધર્મ પણ આ બાવાઓ માટે પ્રથમ બનવાનું એક સાધન માત્ર હોય છે. ધર્મના બહાને સમાજમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લીધું પછી વારો આવે રીસોર્સીસ ભેગાં કરવાનો અને એના માટે ધન કમાઓ. ધનના ઢગલા કરો પછી પાછળ પડો અંતિમ મંજિલ એવી સ્ત્રીઓ પાછળ. ઉચ્ચ આદર્શો ભરેલી ધાર્મિક વાતો પણ સમાજમાં પ્રથમ સ્થાને પહોચવાની નિસરણી માત્ર હોય છે. કારણ એવી વાતો કર્યા વગર કોઈ માનસન્માન આપે નહિ. વિવેકાનંદ જેવા બહુ ઓછા સાધુઓ હોય છે કે જેઓને આખા સમાજના ઉત્થાનની ફિકર હોય છે.’

મેં કહ્યું નિકીતા ‘એક વાક્યમાં કહું તો સામાન્ય માનવીને ફક્ત પોતાના જિન્સની(Genes) ફિકર હોય છે, નેતાઓ અને ટીપીકલ ધાર્મિક નેતાઓ આખા સમાજના જિન્સની ફિકર કરતા હોય તેવો દેખાડો કરીને ફક્ત પોતાના જિન્સની ફિકર કરતા હોય છે અને વિવેકાનંદ જેવા સંતો પોતાના જિન્સની ફિકર કર્યા વગર આખા સમાજના જિન્સની ફિકર કરતા હોય છે.’

શાંતિભાઈ બોલી ઊઠ્યા, ‘તમે તો સેલ્ફીશ જિન્સની થિયરીનો સારાંશ એક જ વાક્યમાં કહી નાખ્યો.’

મેં કહ્યું એ વાત પર ઠોકો તાલી અને કાલે ફરી મળીશું કહી અમે છુટા પડ્યા.

ધાવણ અને બ્રેન (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી) -૨

 ધાવણ અને બ્રેન  (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી) -૨
અમારી રેડબડ ગામ ગપાટા મંડળીના બધા સભ્યો કાયમ હાજર હોય તેવું બનતું નહિ. કોઈ ને કોઈ તો ગેરહાજર હોય જ. આતો કામગરો દેશ છે કોઈને અહીં ગપાટા મારવાની નવરાશ હોય નહિ. એટલે જે કામ પતાવીને આવ્યા હોય કે રિટાયર હોય તેવા મિત્રો ભેગાં થઈ જતા. images9ZS5HX7Y

કમુબેન અને મંજુબેન એમના દીકરાઓને હેલ્પ થાય તે માટે ભારતથી અહીં રહેવા આવી ગયેલા હતા. આ દેશમાં પતિપત્ની બંને જૉબ કરતા હોય એટલે નાના બાળકોને સાચવવા બેબીસીટર રાખવી પડે. સરવાળે તે મોંઘું પણ પડે. વધુમાં દાદી સાથે લોહીનો નાતો હોય એટલે બાળકો સાથે લાગણીનાં તંતુ વડે જોડાયેલ દાદીની દેખભાળમાં આભ જમીનનો ફેર પડી જાય. માબાપ પણ ઇન્ડિયામાં એકલાં રહેતા હોય તો એમની ચિંતા કાયમ કરવી એના કરતા અહીં જોડે રહે તેમાં શું વાંધો? અરસપરસ બધાનું હિત જળવાઈ જાય. આમ તમને ભારતમાં સંયુક્ત કુટુંબ જોવા કદાચ ઓછા મળે પણ અહીં રહેતા ભારતીયોમાં સંયુક્ત કુટુંબ વધુ જોવા મળે તેવું પણ બને.

શાંતિભાઈ સાંજે ચાર વાગે જૉબ પરથી છૂટી જાય એટલે ઘેર આવી ચાપાણી પતાવી ફરવા નીકળી પડે. એમનો અભ્યાસ અને વાંચન પણ બહોળું છે. અંબુકાકા પોતે ભરૂચમાં એક સ્કૂલમાં હેડમાસ્તર હતા. નાના દીકરાને ઘેર તે અને તેમના શ્રીમતી રહે છે. એક દીકરો એના બાલબચ્ચાં સાથે બીજે રહે છે. દીકરી જમાઈ પણ બીજે રહે છે. શનિ-રવિ એકબીજાના ઘેર ભેગાં થઈ એમનું કુટુંબ કિલ્લોલ કરતું હોય છે. કાલની જેમ આજે પાછાં અમે ચાર જણા ભેગાં થઈ ગયા.

થોડી ગપસપ પછી કાલની વાત આગળ વધારતા શાંતિભાઈ બોલ્યા, ‘ માતા જ્યારે બાળકને ધવડાવતી હોય ત્યારે માતા અને બાળક બંનેના બ્રેનમાં ઓક્સીટોસીન નામનું ન્યુરોકેમિકલ પુષ્કળ પ્રમાણમાં સ્ત્રવતું હોય છે જે માતા અને બાળક વચ્ચે સામાજિક જોડાણ પાકું કરે છે. બીજું માતાનું ધાવણ બાળકના બ્રેન વિકાસ માટે મહત્વનું છે. ફૉર્મ્યુલા ફીડીંગ ડાયાબીટીસ અને બીજા રોગોનું કારણ બની શકે છે. ઓક્સીટોસીન પ્રેમ અને વિશ્વાસ માટે કારણભૂત કેમિકલ કહેવાય છે.’

મેં કહ્યું મતલબ તમે બાળકને પૂરતું ધવડાવ્યું નાં હોય તો માતા અને બાળક વચ્ચે સામાજિક બૉન્ડ જોઈએ તેવું સખત બને નહિ તેવું કહી શકાય.

શાંતિભાઈ કહે, ‘અપવાદ રૂપ કિસ્સા હોય બાકી સરેરાશ જુઓ તો જે બાળકો માતાને વધુ સમય ધાવ્યા હોય અને જે બાળકો ઓછો સમય ધાવ્યા હોય તેમના એમની માતા સાથેના સામાજિક સંબંધોમાં ફેર તો રહેવાનો જ. Bryan Rodgers નામના મેડિકલ સંશોધકે ૮ થી ૧૫ વર્ષના ૨૦૦૦ બાળકોના જ્ઞાનભંડોળ વિષે ચકાસણી કરી એક અભ્યાસ કરેલો. જે બાળકો સમગ્રતયા બોટલ ફીડીંગ પર ઊછરેલા તેમનો જ્ઞાનભંડોળનો સ્કોર માતાના દૂધ સાથે ઊછરેલા બાળકો કરતા થોડો ઓછો હતો. માતાનાં દૂધ પર ઊછરતા ૬ મહિના થી ૨ વર્ષની ઉંમર સુધીના બાળકોનાં મેન્ટલ ફંક્શન પણ બોટલ-દૂધ પર ઊછરતા બાળકો કરતા વધુ નોંધાયા છે.’

વધુમાં શાંતિભાઈએ ઉમેર્યું, “ઘણી માતાઓ ચાર-છ  મહિના ધવડાવી બાળકોને બોટલ પર ચડાવી દેતી હોય છે. માનવવંશ શાસ્ત્ર અને પુરાતત્ત્વવિદ્યા જેવી અભ્યાસની શાખાઓ તરફથી મળેલા પુરાવા જતાવે છે કે ૧૦,૦૦૦ વર્ષ પૂર્વે દુનિયાના બધા સમાજો હન્ટર-ગેધરર હતા તે આપણા પૂર્વજો મિનિમમ ૩ વર્ષ તો બાળકોને ધવડાવતા જ હતા. એટલે અભ્યાસમાં બેચાર મહિના ધાવેલા બાળકો અને બેત્રણ વર્ષ ધાવેલા બાળકો વચ્ચેનો તફાવત ધ્યાનમાં લેવો જોઈએ. ૧૯૯૩માં Walter Rogan અને Beth Gladen નામના જીવ વૈજ્ઞાનિકોએ ૬ મહિનાથી માંડી ૫ વર્ષ ઉંમર સુધીના બાળકોનો અભ્યાસ કરેલો. એમનું તારણ એ હતું કે જેમ વધારે મહિના કે વર્ષો બાળક ધાવ્યું હોય તેમ તેમનો માનસિક વિકાસનો સ્કોર વધુ હોય છે. ઘણાબધા અભ્યાસ આ બાબતે થયા છે. મૂળ વાત એ છે કે સ્ત્રીઓ ધવડાવવા અને બાળકો ધાવવા માટે ઓછામાં ઓછું ત્રણ વર્ષ તો ઉત્ક્રાન્તિના ક્રમમાં ઇવોલ્વ થયેલા જ છે, અને વધુમાં વધુ પાંચ વર્ષ. કારણ પાંચ વર્ષ પછી દૂધમાં રહેલું લેક્ટોસ પચાવતું એન્ઝાઈમ બનતું બંધ થઈ જતું હોય છે. એટલે જેટલું વધારે સમય બાળક ધાવ્યું હોય તેમ તેનો માનસિક વિકાસ વધુ નોંધાયો છે. એટલે જે માતાઓએ બાળકને બિલકુલ નાં ધવડાવ્યું હોય તે અને ફક્ત થોડા મહિના બાળકને ધવડાવ્યું હોય તે માતાઓ એક જ નાવમાં સવાર છે, એમના બાળકોનો લાંબાગાળે માનસિક વિકાસ લગભગ સરખો જ હોય છે.”

લાંબું ભાષણ આપી શાંતિભાઈ ઊંડા શ્વાસ લેવા લાગ્યા. તો મંજુબેન એક ચિત્તે બધું સાંભળીને એમના દીકરાની વહુ જે ફક્ત છ મહિનામાં જ ધાવણ છોડાવી દેવાનું વિચારતી હતી એને કઈ રીતે સમજાવવી તે વિચારી રહ્યા હતા. આજકાલની જનરેશનને એમ સીધું કહી દેવાથી માની જાય તેવી હોતી નથી. હું એમની સમસ્યા સમજી ગયો હતો. મેં શાંતિભાઈને કહ્યું આ મંજુબેન હવે અહીં આવીને ઈ-મેલ વગેરે વાપરતા થઈ ગયા છે. નવરાં હોય ત્યારે કોમ્પ્યુટર પર બેસે પણ છે તો એમને તમે કરેલા અભ્યાસની લિંક જે હોય તે ઈ-મેલમાં મોકલી આપો. મંજુબેન તે બધી લિંક એમની વહુને ફૉર્વર્ડ કરી દે. વહુ જાતે જ વાંચી અભ્યાસ કરી નિર્ણય લે તે યોગ્ય છે.

મંજુબેન ખુશ થઈ ગયા, કહે રાઓલભાઈ તમે સરસ ઉપાય બતાવ્યો એમ જ કરવું પડશે. જોઈએ અમારો પ્લાન સફળ થાય છે કે કેમ? હાલ તો આટલું વિચારી અમે છુટા પડ્યા.

ધાવણ અને વાળ (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી)

ઈંડા મૂકતાં સસ્તન
ઈંડા મૂકતાં સસ્તન

૧- ધાવણ અને વાળ (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી) -૧
અમારી રેડબડ સ્ટ્રીટમાં મોટાભાગે ગુજરાતીઓ રહે છે, જે રેડબડ રોડ તરીકે ઓળખાય છે. થોડા શ્વેતાશ્વેત અને થોડા ચાઇનીઝ મૂળના લોકો પણ રહે છે. આખી સ્ટ્રીટ અર્ધગોળાકાર રૂપે ફેલાયેલી છે. સામસામે મકાનો વચમાં રોડ, એક બાજુથી પ્રવેશ મેળવો અર્ધવર્તુળ ફરી બીજી બાજુથી બહાર નીકળી જવાય. એક મોટા એરીયામાં નાનું પાર્ક જેવું છે. એમાં વૉલીબોલ રમવાનું નાનકડું પાકું મેદાન, થોડા નાના બાળકોને રમવાના લપસણી જેવા સાધનો, થોડી લાકડાની પાટલીઓ પણ મૂકેલી છે. અર્ધગોળાકાર ફેલાયેલી મકાનોની સામસામેની લાઈન આગળ ચાલવા માટેના પાકા વૉક વે પણ ખરા. દરેક મકાન આગળ કાર મૂકવાના ડ્રાઈવ વે તો ખરા જ. સાંજ પડે વૉક વે પર સ્ટ્રીટનાં રહીશો ચાલવા નીકળી પડે. થાકે એટલે પાર્કમાં મૂકેલી બેંચ પર બેસી ગામ ગપાટા મારે.

સ્ટ્રીટમાં ચારપાંચ ચક્કર મારી અંબુકાકા થાક્યા એટલે પાર્કમાં મૂકેલી બેંચ પર આવીને બેઠાં, ત્યાં થોડીવારમાં શાંતિભાઈ પણ આવી પહોચ્યા. કમલાબેન અને મંજુલાબેન ચાલી ચાલી થાક્યા તો એ પણ રોજ સાંજે ભરાતી મિટીંગમાં જોઈન થઈ ગયા. ૨૫-૩૦ વર્ષ પહેલા અમેરિકામાં આવીને વસેલી ગુજરાતી મહિલાઓમાં દર બે પાંચ મહિલાએ એકનું નામ મંજુલા નીકળે જ. આ બધાને જોઇને હું પણ ચલાવાનું મુલતવી રાખી આવીને બેસી ગયો. શાંતિભાઈ હાલ તો એક ડે કેઅર સેન્ટરમાં નોકરી કરે છે પણ મૂળ સૌરાષ્ટ્રનાં અને ભારતમાં હતા ત્યારે મનોવિજ્ઞાનનાં શિક્ષક હતા. ધોરણ અગિયાર અને બારમાં મનોવિજ્ઞાન ભણાવતા. એટલે એમની વાતોમાં મનોવિજ્ઞાન આવી જાય. અમારી રેડબડ ગામ ગપાટા મંડળીના બધા સભ્યો કાયમ હાજર હોય નહિ. પણ જે હાજર હોય તેમની વચ્ચે ગપાટા મારવાનું શરુ થઈ જાય.

મંજુલાબેન છએક મહિના પહેલા દાદી બન્યા હતા. એમની પૌત્રીને ધાવતી બંધ કરવાના ઉપાયો ઘરમાં શોચવાનું શરુ થઈ ગયું હતું. મંજુબેનને તે ગળે ઊતરતું નહોતું. કારણ એમના સંતાનો ઓછામાં ઓછું બે વર્ષ તો માતાના ધાવણ પર રહેલા જ હતા. એમનો બળાપો હતો કે “નૉની અમથી સોડી..નઅ. અતારથી દૂધ સોડાઈ દેવાનું? બચારી અજુ પૂરું ખાવાનું ય શીખી નહિ.”

મને કહે અલ્યા રાઓલભઈ તમે બઉ વૉચો સૉ અન શૉન્તીભાઈ તમેય બઉ ઉશીયાર સૉ તો કૉક આ ધાવણ વિષે કૉ ને? અતારથી ધાવણ સોડાઈ દેવાનું હારું કેવાય?

આપણ ને તો ચાન્સ મળવો જોઈએ ડહાપણ ડહોળવાની એક પણ તક જવા દઈએ નહિ. મેં શરુ કર્યું, “સસ્તન પ્રાણીઓમાં બે વસ્તુ મુખ્ય હોય છે, એક તો વાળ હોવા અને બીજું  મૅમલ એટલે સસ્તન પ્રાણીના બચ્ચાનું માતાને ધાવવાનું. આ બે ગુણધર્મ ઉત્ક્રાન્તિના ક્રમમાં બહુ વહેલા મળેલા છે. માતાના ગર્ભમાં બચ્ચું ઊછરવાનું અને પછી જીવિત જન્મ આપવાનું પણ વિકાસના ક્રમમાં પછી મળેલું, તે પહેલા વાળ અને ધાવવાનું વિકસી ચૂક્યું હતું.”

કીડી ખાઉં
કીડી ખાઉં

મંજુબેન બોલ્યા “ઉભા રો ઉભા રો, જરા ધીરે થી હમજાવો. અમુક સજીવો પહેલા ઈંડા મૂકે છે એમાંથી બચ્ચા જન્મે છે. પછી એવા જીવો વિકસ્યા જેમના પેટમાં મતલબ ગર્ભમાં બચ્ચા ઊછરતા અને પુરા મહીને જન્મ લેતા. એના ય પહેલા આ વાળ અને ધાવવાનું વિકસી ચૂક્યું હતું તેવું કહેવા માંગો છો?” મંજુબેન મહેસાણામાં હતા ત્યારે શિક્ષકા હતા એટલે સમજાય નહિ ત્યાં સુધી પીછો છોડે નહિ.

મેં કહ્યું બરોબર હું એજ કહેવા માંગુ છું, “વાળ અને ધાવવાનું પહેલું વિકસેલું ગર્ભમાં બચ્ચાં ઊછરવાનું પછી, વધુમાં ફોસિલ રૂપે મળેલા સીધા પુરાવા જતાવે છે કે મૅમલ ૧૭૦ મિલ્યન વર્ષ પહેલા ચામડી પર ફરકોટ વિકસાવી ચૂક્યાં હતાં. ઇન્ડિરેક્ટ પૂરાવા તો વળી એવું દર્શાવે છે કે મૅમલ ૨૦૦ મિલ્યન વર્ષ કરતાં પણ પહેલાથી વાળ વિકસાવી ચૂક્યા છે. ફોસિલ રિકૉર્ડ પ્રમાણે પ્રથમ મૅમલ ઉદ્ભવ પામ્યા તે પહેલાનાં મૅમલ જેવાં જણાતાં ઍડ્વાન્સ સરિસર્પના લાંબાં સૂંઢ જેવા નાક પર જ્યાંથી વાળ ઊગી શકે તેવા બારીક ખાડા જણાયા છે જ્યાથી મૂછ જેવું ઊગી શકે. ડૉલ્ફિન જેવાં અક્વૅટિક મૅમલ એમના વાળ ગુમાવી ચૂક્યાં છે તે પણ હકીકત છે. માનવ પણ બીજાં મૅમલની જેમ વાળનું તગડુ પડ ધરાવતો નથી.”

“પણ આ ધાવણની વાતોમાં વાળ વચમાં ક્યાંથી આવી ગયા?” અંબુકાકા બોલ્યા. મેં કહ્યું,

“ધાવવાનું તો અપવાદ વગર દરેક મૅમલમાં સામાન્ય હોય છે. પ્લૅટિપસ મૅમલ જે બતક જેવી ચાંચ ધરવતા હોય છે અને ઍન્ટઇટર(કીડી ખાઉ) બંને ઈંડા મૂકતા હોય છે પણ બન્ને વાળ અને આંચળ ધરાવતા હોય છે. ત્યાર પછી વિકસ્યા કાંગારું જેવાં માર્સૂપિઅલ મૅમલ જે અવિકસિત જીવિત બચ્ચાંને જન્મ આપે અને પેટ ઉપર રહેલી કોથળીમાં બચ્ચાને ઉછેરે. વાળની સાથે ચામડી નીચે પરસેવો ઉત્પન્ન કરતી, ગંધ પેદા કરતી અને ઓઇલ પેદા કરતી ગ્રંથિઓ વિકસી. આ તૈલી ગ્રંથિ sebaceous ગ્રંથિમાંથી જ દૂધ ઉત્પન્ન કરતી ગ્રંથિઓ વિકસી છે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. આ દૂધમાં બાળક માટે ફક્ત પોષક તત્વો જ હોતા નથી, એમાં ઍન્ટિબાયૉટિક પણ હોય છે.”
કમળાબેન કહે, “આ મારા દીકરાને તો દૂધ પીવે તરત ઝાડા થઈ જતા હોય છે માટે કદી દૂધ પીતો નથી.”

મેં કહ્યું, “લગભગ પાંચ વર્ષની ઉંમરે બાળક લૅક્ટોસ પચાવે તેવું લૅક્ટેસ નામનું એન્ઝાઇમ પેદા કરવાનું બંધ કરી દેતું હોય છે. એટલે મોટાભાગના પુખ્ત લોકો લૅક્ટોસ પચાવી શકતા નથી. છતાં અમુક સમાજોમાં ડેરી પ્રોડક્ટ લેવાનું સામાન્ય અને નિયમિત હોય છે તે લોકોમાં ગૌણ અનુકૂલન તરીકે લૅક્ટોસ ટૉલરન્સ જિનેટીક સિસ્ટમ વિકસી જતી હોય છે. એશિયન લોકો કરતાં યુરોપિયન લોકોમાં લૅક્ટોસ ઇનટૉલરન્સ રેટ ઓછો જોવા મળે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઉત્તર આફ્રિકા અને સેન્ટ્રલ યુરોપના પશુપાલન કરતા સમાજોમાં આશરે ૭૫૦૦ વર્ષ પહેલાં આવું લૅક્ટોસ પચાવે તેવું જિનેટીક મૉડિફિકેશન થયું હોવું જોઇએ. એટલે બધાને દૂધ પચે નહિ તે હકીકત છે. પહેલા તો એવું કહેવાતું કે કોકેશિયન મૂળના લોકો સિવાય બીજા લોકોને દૂધ પચે જ નહિ.”

કમળાબેન કહે એનો મતલબ બાળક પાંચ વર્ષ સુધી ધાવે તેવી વ્યવસ્થા કુદરતે જ મૂકેલી છે.

મેં કહ્યું સાચી વાત છે. આપણા હન્ટર-ગેધરર પૂર્વજો બાળકોને પાંચ વર્ષ સુધી ધવડાવતા જ હતા. ધાવણ વિષે થોડી મનોવૈજ્ઞાનિક વાતો આ શાંતિભાઈ કરે તો ઓર જાણવા મળે.

શાંતિભાઈ કહે હવે આજે તો હવે મોડું થઈ ગયું છે. જમવાનો સમય પણ થઈ ગયો છે, કાલે મળીશું તો જે જાણું છું તે કહીશ. images-=
આમ અમારી રેડબડ ગામ ગપાટા મંડળી છૂટી પડી..

કાયદો પહેલો કે માણસ?

 untitledકાયદો પહેલો કે માણસ?

ભારતમાં પહેલા માણસ જોવાય છે, પછી કાયદો. હું એકવાર વડોદરામાં ન્યાયમંદિર બાજુ ફરતો હતો. પદ્માવતી શોપિંગ સેન્ટર બાજુથી એક કાયનેટીક હોન્ડા જેવા સ્કૂટર માથે ત્રણ છોકરા બેઠેલા ધમધમાટ કરતા લહેરીપુરા ગેટ બાજુથી સાધના ટૉકીઝ બાજુ જતા હતા. હું ત્યાં ફુવારા પાસે ઊભો હતો. ત્રણ સવારી અને તે પણ લાઇસન્સ ના હોઈ શકે તેવડા ત્રણ છોકરા જોઈ ત્યાં ઊભેલા એક સામાન્ય પોલીસવાળાએ પેલાં છોકરાઓને ઉભા રાખી ત્યાંની ભાષા પ્રમાણે મેમો આપી દીધો. થોડી રકઝક ચાલી, છોકરાઓ દાદાગીરી કરવા લાગેલા. પછી મને જાણવા મળ્યું કે સ્થાનિક ધારાસભ્યનો છોકરો સ્કૂટર ચલાવતો હતો અને એના મિત્રો પાછાં બેઠેલા હતા. વાત આગળ વધી ગઈ, બીજે દિવસે જાણવા મળ્યું કે પેલાં પોલીસવાળાને સસ્પેન્ડ કરવા સુધી વાત પહોચી ગયેલી, ધારાસભ્ય સમાધાન કરવા રાજી નહોતા, એક ધારાસભ્યના છોકરાને અટકાવવા બદલ તેને પૂરી સજા કરવાની હતી પણ મોટા સાહેબોએ દરમ્યાનગીરી કરી હોય કે પોલીસવાળો કરગરી પડ્યો હોય તેની ત્યાંથી બદલી કરી નાખવામાં આવેલી. મારા એક રીલેટીવ દાંડિયા બઝાર બાજુ એક પોલીસ ચોકીમાં ફોજદાર હતા તો હું કોઈ વખત ત્યાં બેસવા જતો. તેમણે પણ ઉપરોક્ત બનાવની ચર્ચા કરતા કહ્યું પેલાં પોલીસવાળાએ પ્રેક્ટીકલ બનવું જોઈતું હતું. ધારાસભ્યનાં છોકરા જોડે પંગો નહોતો લેવા જેવો..

આ જે કાયદાપાલનમાં પ્રેક્ટીકલ બનવાની માનસિકતા સમગ્ર ભારતમાં છે તે ઓળખી લેવી જોઈએ. હું પોતે પણ આ સિસ્ટમમાં ૫૦ વર્ષ જીવ્યો જ છું. ભારતમાં માણસ પહેલો જોવાય છે કાયદો પછી જ્યારે અમેરિકામાં કાયદો પહેલા જોવાય છે માણસ પછી, કાયદા આગળ લગભગ માણસ જોવાતો જ નથી કે તે કોણ છે? એટલે આ બે દેશો વચ્ચે કાયદાપાલનની બાબતમાં જે મૂળભૂત ડિફરન્સ છે તે ઓળખી લેવો જોઈએ. એટલે દેવયાની જેવા કહેવાતા મોટા માથાને અમેરિકન સરકાર એક સામાન્ય માનવીની જેમ કાયદાપાલન વિષે ટ્રીટમેન્ટ આપે ત્યારે સમગ્ર ભારતની એવરીજ માનસિકતાને ધક્કો લાગે છે. માનવી સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલો છે અને સમૂહને વ્યવસ્થિત ચલાવવા કાયદા-કાનૂન, નિયમો બનાવવા પડતા હોય છે. એકલદોકલ વ્યક્તિ એના ફાયદા માટે આખા સમાજનો નિયમ તોડે તો સમાજ ખોરવાઈ જવાનો.

કાયદા આગળ સર્વ સમાન તેવું આપણી માનસિકતામાં જલદી ઊતરે જ નહિ માટે નક્કી કોઈ કાવતરું હશે તેવું માનવા મન પ્રેરાય છે. અને કાવતરું જ છે તેવું સાબિત કરવાના પ્રયત્નો પણ ચાલુ થઈ જતા હોય છે. એમાં આખો દેશ તણાઈ જાય કારણ આખા દેશની માનસિકતા સરખી જ રહેવાની. મીડિયા હોય કે સોશિઅલ મીડિયા હોય કે નેતાઓ હોય એવરીજ માનસિકતા તો સરખી જ હોય ને? અરે આવી ભેદભાવભરી સિસ્ટમમાં જેને અન્યાય થયા હોય તેમની માનસિકતા પણ એવી જ હોય છે. બહુ ઓછા લોકો આ દેશમાં એવું માનતા હોય છે કે કાયદો બધા માટે સરખો હોવો જોઈએ. અહીં તો ધર્મે ધર્મે, સંપ્રદાયે સંપ્રદાયે, કોમે કોમે, નાતે-જાતે કાયદા અલગ અલગ હોવા જોઈએ તેવું માનવાવાળો દેશ છે. અને અમીરો માટે તો કાયદાની આમેય ક્યાં જરૂર છે? મુકેશ અંબાણીની એસ્ટોન માર્ટીન ચાર જણને ચગદી નાખશે તો શું થવાનું? જસ્ટ દાખલો આપું છું. મુકેશનો છોકરો દારુ પી ને કાર ચલાવતો હશે તો કોઈ ભાડૂતી ડ્રાઇવર એની જગ્યાએ આવી જશે. આ અમેરિકા થોડું છે કે બુશ પ્રેસિડન્ટ હોય છતાં એની છોકરીને કોર્ટમાં જવું પડે? અને એને કોર્ટમાં લઈ જનારા પોલીસને કોઈ ચિંતા જ ના હોય?

  એટલે ભારતમાં વાહન લઈ જતા હોઈએ અને કોઈ પોલીસ રોકે તો પહેલા તો એના તેવર જુદા હોય. પછી જ્યારે નામ દઈએ, પિતાશ્રીનું નામ દઈએ, કઈ કોમ કે નાત ધરાવીએ છીએ તે કહીએ એટલે તેના તેવર બદલાઈ જાય. હું તો રાઓલ અટક અને ગામ માણસા કહું એનામાં તરત નમ્રતા આવી જાય. આપણે પણ ફુલાઈને ચાલતી પકડીએ. એટલે પહેલીવાર અમેરિકામાં આઠ વર્ષે પોલીસવાળાએ રોકી મને કહ્યું “ સર ! તમારે કારમાંથી ઊતરવાની જરૂર નથી, હું ફલાણો પોલીસ ઓફિસર છું અને તમે આ જગ્યાની બાંધેલી સ્પીડ કરતા વધુ સ્પીડે કાર ચલાવી છે માટે તમારું લાઇસન્સ અને કારનું રજિસ્ટ્રેશન વગેરે આપો.” મને તો એણે ‘સર’ કહ્યુંને મજા પડી ગઈ. છતાં મને ખબર હતી કે ગુનાની ગંભીરતા કે પરિસ્થિતિ જોઈ આ જ પોલીસવાળો મને રોડ પર ઊંધા પાડી એના સ્વખર્ચે વસાવેલી હાથકડી પહેરાવતા જરાય વાર નહિ કરે.

આપણે ત્યાં લાલુઓ, દત્તો, સલમાનો માટે કાયદાપાલન બાબતે જુદા કાટલાં છે અને બબલો, છગનીયો, ભીખલો કે મગનીયા માટે કાટલાં જુદા છે. એટલે બધા માટે કાટલાં સરખાં હોય તેવું આપણી માનસિકતામાં અચેતનરૂપે ઊતરે જ નહિ. એટલે પછી લાલુઓ, દત્તો, સલમાનો માટે બબલો, છગનીયો, ભીખલો અને મગનીયો કાવતરા કરી રહ્યા હોય તેવું લાગતું હોય છે. એટલે અમેરિકાની કાયદાપાલન સિસ્ટિમ આપણા દિમાગમાં ઊતરતી નથી અને અમેરિકા ભારતને નીચું પાડવા કાવતરા કરી રહ્યું હોય તેમ સામાન્ય પ્રજાજનોને પણ લાગતું હોય છે.

આ પ્રીત ભરારા ઇન્ફન્ટ એટલે તાજું જન્મેલું બચ્ચું હતા અને અમેરિકા આવી ગયેલા. એમની સમજમાં કે બ્રેનમાં હોય જ નહિ કે દેવયાની જેવા મોટા ઓફિસર અને મોટા માથા પર કાયદાકીય પગલા લેવા પાપ કહેવાય. દેવયાની અને એની નોકરાણી સંગીતા રીચાર્ડનાં કેસ વિષે આપણે ન્યાય તોલવા બેસવાની જરૂર નથી. તે બધું જે તે સત્તાવાળા અને જે તે ન્યાયાધીશો કરશે. મારે તો જસ્ટ માનસિકતાની વાત કરવી છે. દેવયાની અને સંગીતા બંને વધતાઓછા દોષી હશે જ. પણ અમેરિકામાં સંગીતા એક નોકરાણી છે ગરીબ છે અને દેવયાની એક કૉન્સ્યુલેટ છે, ડિપ્લોમેટ છે અમીર છે તેવા ધારાધોરણ ધ્યાનમાં લેવામાં આવશે નહિ અને ભારતમાં આ બધું ધ્યાનમાં લેવામાં આવશે. ભલે અમેરિકાએ સદીઓ સુધી ગુલામો રાખ્યા હશે પણ આજે અમેરિકા સ્લેવરિ બાબતે ખૂબ સેન્સીટીવ છે. ફેડરલ ગવર્નમેન્ટ નક્કી કરે તેના કરતા ઓછા પગાર આપવો સ્લેવરિ જેવું ગણાય.

તમે મોદી સરકારના એક સામાન્ય પોલીસવાળા હોવ અને ખુદ મોદી કારમાં સીટ બેલ્ટ બાંધ્યા વગર જતા હોય તો મેમો આપી શકો ખરા? સપનામાં પણ એવો વિચાર આવે નહિ. અમેરિકામાં ડ્રાઈવરે અને કારમાં આગળ બેઠેલાએ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત છે. અહીં પ્રમુખ પદ્ધતિ છે માટે રાજ્યના ગવર્નર સીધા પ્રજા દ્વારા ચૂંટાયેલા અને ભારતના કોઈ મુખ્યમંત્રી જેવા સર્વેસર્વા જ સમજી લો. ન્યુ જર્સીના ગવર્નર કોરઝાઈનને એના જ પોલીસવાળાએ બેલ્ટ ના બાંધવા બદલ ટીકીટ(મેમો) આપી દીધેલો.

અહીં અમેરિકામાં ભારતીયોનું શોષણ બીજા ભારતીયો દ્વારા જ થતું હોય છે. મોટેલોમાં અને સ્ટોરોમાં એના ભારતીય માલિકો દ્વારા એમના ભારતીય નોકરોનું બેફામ અને માનવતા નેવે મૂકીને શોષણ કરાતું  હોય છે. પણ એમાં તેરી બી ચુપ મેરી બી ચુપ જેવો ઘાટ હોય છે. ફેમિલીફાઈલો ઉપર અમેરિકા આવી ગયેલા નિરક્ષર ભારતીયો જે મળે તે અને જ્યાં મળે ત્યાં કામ કરવા રાજી હોય છે. અહીં કોઈ કામ નાનું કે મોટું ગણાતું નથી માટે કરવામાં તો શું શરમ રાખવાની? પણ જે મળે તે કામ કરી લેવાની મજબૂરીનો જબરદસ્ત લાભ ભારતીયો જ લેતા હોય છે. કોઈ શ્વેત-અશ્વેતનું શોષણ તમે કરી શકો નહિ. કોર્ટના ધક્કા ખાતા કરી મૂકે. એટલે અભણ, વૃદ્ધ અને અશક્ત ભારતીયોનું શોષણ આપણા ભારતીયો જ કરતા હોય છે. ડીસ્ક્રીમીનેશન અહીં મોટો ગુનો છે. સ્ત્રીઓના મોઢા ના જોવાય પણ પુરુષનું નિતંબશોષણ કરવામાં જરાય વાંધો નહિ તેવી પવિત્ર માનસિકતા ધરાવતા સંપ્રદાયનાં સંતો એક ભારતીયની મોટેલમાં એમના પવિત્ર વાઈબ્રેશન ફેલાવી તેને કૃતાર્થ કરવા પધાર્યા ત્યારે પેલાં ભારતીય મોટેલ માલિકે એમની અશ્વેત કર્મચારી એવી મહિલાને સ્થળ છોડી જવા ફરમાન કરેલું. પેલી મોટેલસ્થળ છોડી કોર્ટસ્થળે પહોચી ગયેલી એમાં પેલાં ભારતીય મોટેલ માલિકને બહુ મોટો દંડ untitled-=-ભોગવવો પડેલો.

શોષણ થવા દેવા માટેની તમારી મજબૂરીઓને લીધે તમે કેસ કરો નહિ તો સરકારને ક્યાંથી ખબર પડવાની હતી? જો તમને જ તમારું શોષણ મંજૂર હોય તો સરકાર શું કરવાની હતી? ભારતમાં આપણને કોઈ બેપાંચ હજાર પગારમાં રાખવા તૈયાર ના હોય અને અહીં અમેરિકા ૨૫-૩૦ હજાર રૂપિયા આપી લાવવા તૈયાર થઈ જાય તો એકંદરે લાભ બંનેને છે. પણ આ ૨૫-૩૦ હજાર એટલે આશરે ૫૦૦ ડોલર તે પણ મહીને અહીંના ધારાધોરણ મુજબના કહેવાય નહિ. આટલાં તો અઠવાડિયે મળવા જોઈએ.

વધુ પડતા આત્મવિશ્વાસમાં એકવાર ૯/૧૧ ઘટના બની ગયા પછી અમેરિકા વધુ પડતું સાવચેત થઈ ગયેલું છે. અને તે જરૂરી છે. આપણા ફિલ્મી ટાયડા કે લઘરવઘર ફરતા નેતાઓના માન સાચવવાની લ્હાયમાં અમેરિકન પ્રજાની સુરક્ષા હોડમાં મૂકે તેવું અમેરિકા નથી. આ લેડી ગાગા મુંબઈથી અમદાવાદ રોડરસ્તે એના કાફલા સાથે આવતી હોય તો મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પર એની કોઈ ચકાસણી થાય ખરી? ચાલો એના બદલે સુનિધિ ચૌહાણ કે શ્રેયા ઘોષાલ હોય તો પણ કોઈ તપાસે નહિ. પણ અહીં લેડી ગાગા એક સ્ટેટ બદલી બીજા સ્ટેટમાં જતી હોય તો કુતરાઓની આખી ફોજ સાથે પોલીસ એના કાફલાની પૂરી ચકાસણી કરી લે, એમાં લેડી ગાગા પણ હસતી હસતી સહકાર આપે. ઘણીવાર જરૂરિયાત નિયમો બનાવી લેવા પ્રેરતી હોય છે. આંતરવસ્ત્રો તપાસવાના પહેલા કોઈ નિયમો હતા નહિ. પણ કોઈએ આંતરવસ્ત્રો અને ગુપ્તાંગોનાં ખાડાખૈયામાં કશું છુપાવ્યું હશે જે મળ્યું હશે માટે બધું તપાસવાના નિયમો બની ગયા હશે. સમાજની સુરક્ષા માટે બનાવેલા નિયમોનું આકરું પાલન આપણી સમજમાં જલદી ઊતરતું નથી કારણ આપણે ત્યાં માણસ એનું સ્ટેટ્સ એના પૈસા બધું પહેલા ગણતરીમાં લેવાય છે કાનૂન પછી.

હું એવું નથી કહેતો કે અમેરિકા ભૂલો નથી કરતું કે બહુ મહાન છે પણ આપણે ત્યાં માણસ પહેલા જોવાય છે પછી કાયદો જ્યારે અહીં કાયદો પહેલા ગણતરીમાં લેવાય છે માણસ પછી માટે આ બેસિક તફાવત ધ્યાનમાં રાખવો જોઈએ.. જો કે માણસ જાતના ઇતિહાસમાં ડીસ્ક્રીમીનેશન કરવામાં સદીઓથી અવ્વલ નંબરે રહેલી પ્રજાના મનમાં આ વાત જલદી નહિ ઊતરે તે પણ હકીકત છે.

નોંધ: મિત્રો જમણા હાથે કોણીમાં ફ્રેકચર છે નિયમિત લખવું મુશ્કેલ છે, એક હાથે તે પણ ડાબા હાથે લખવું અઘરું છે છતાં ટ્રાય કર્યો છે.

ધાવણ અને ધાવમાતા

untitled-0-=

 બાળઉછેરની ચર્ચાઓ સ્ત્રીઓમાં ચાલતી હોય ત્યારે Breast vs Bottle વિષય મહત્વનો બની જતો હશે. બ્રિટીશ સરકારે બ્રેસ્ટ ફીડીંગને ઉત્તેજન આપવા એક પાઇલટ સ્કીમ શરુ કરી છે એના અંતર્ગત જે સ્ત્રીઓ એમના બાળકોને બ્રેસ્ટફીડીંગ કરતી હોય તેને છ અઠવાડિયા સુધી ૧૨૦ પાઉન્ડ શોપિંગ વાઉચર તરીકે આપવા અને છ મહિના સુધી બ્રેસ્ટફીડીંગ કરે તો આ રકમ ૨૦૦ પાઉન્ડ સુધી વધી શકે. ઘણી સ્ત્રીઓ પૌષ્ટિક ખોરાકના અભાવે પોતાનું દૂધ ઉત્પાદન જોઈએ તેવું કરી શકતી નહિ હોય તેવું ધારી કદાચ આવો નિર્ણય લેવાયો હોય તેવું બની શકે. ઘણી સ્ત્રીઓ પૂરતું દૂધ ઉત્પાદન કરી શકતી ના હોય તે નવું નથી.

તાજાં જન્મેલા બાળકોને પહેલાં કોઈ બીજા પ્રાણીનું દૂધ આપતું નહિ. ૧૯મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ યુરોપમાં શરૂ થઈ સ્ત્રીઓ કારખાનામાં કામ કરતી થઈ અને બાળકોને સર્વપ્રથમ ગાયનું દૂધ આપવાનું શરુ થયું. બ્રેસ્ટફીડીંગ કરતાં બોટલથી દૂધ આપવું ઝડપી અને સ્ત્રીઓ કામના કલાકો વધુ ખેંચી પણ શકે. વધુને વધુ સ્ત્રીઓ કામ કરતી થઈ તેમ કામ કરતી નવી બનેલી માતાઓને તો બ્રેસ્ટફીડીંગ અઘરું લાગવા માંડતા બોટલ ફીડીંગ ઝડપથી ફેલાવા લાગ્યું. પરિણામ એ આવ્યું કે ત્રીજા ભાગના બાળકો એમનો પહેલો જન્મદિવસ જુએ અને ઊજવાય તે પહેલા પૃથ્વી પરથી કાયમી વિદાય લેવા લાગ્યા. ૨૦મી સદીમાં એમાં થોડો સુધારો આવ્યો કે દૂધ આપવાની બોટલ હાઇજીનનું ધ્યાન રાખીને બનાવવાનું અને વાપરવાનું શરૂ થયું, સાથે સાથે દુધને બદલે તૈયાર ફૉર્મ્યૂલા-ફીડ પણ વપરાવા લાગ્યા. ભારતમાં તો બોટલ વડે દૂધ આપવાનું બહુ પાછળથી શરૂ થયેલું. અમારી પેઢી સુધી તો હતું જ નહિ.

હવે આપણે શીખ્યા કે formula-feeding ભવિષ્યમાં બાળકની તંદુરસ્તી માટે ખૂબ હાનિકારક છે જેવું કે ભવિષ્યમાં ડાયબીટિઝ અને ઓબેસિટી વડે પીડાવાનું જોખમ વધી શકે છે. પણ હવે જાદુઈ ચિરાગમાંથી બહાર છટકી ગયેલો જિન પાછો પૂરવો મુશ્કેલ છે. જો કે ૧૯૦૦માં પોતાના બ્રેસ્ટફીડીંગ તરફથી નવા વિકલ્પ પ્રત્યે સ્ત્રીઓ અચાનક ધ્યાન આપતી નહોતી શરુ થઈ ગયેલી. એની શરૂઆત બહુ જૂની છે. ૧૯મી સદીમાં શરૂ થયેલા બોટલ-ફીડીંગ ને લીધે એક સદીઓ જુનો વ્યવસાય wet nursing નદારદ થઈ ગયો. ભારતમાં એને ધાવમાતા કહેતા(breastfeeding another woman’s baby). ભારતમાં રાજઘરાનાના લોકો આવી ધાવમાતાઓ રાખતા. wet nursing(ધાત્રીકર્મ) વિશેના સૌથી જુના લગભગ હજાર વર્ષ જુના ઉલ્લેખ ઇઝરાયલ, ઈજીપ્ત અને ગ્રીસમાં મળે છે. કોઈ શારીરિક ખામીને લીધે કોઈ સ્ત્રી એના બાળકને દૂધ આપી શકતી ના હોય ત્યારે આવી ધાવમાતા તરીકે સ્ત્રીઓ પગાર આપી રાખવામાં આવતી જે પેલી સ્ત્રીના બાળકને ધવડાવવાનું કામ કરતી.

ભારતમાં તો આવી માતાઓ બાળકની તમામ સારસંભાળ રાખતી. જરૂર પડે જે તે બાળક માટે બલિદાન આપી દેતી. મુઘલ બાદશાહ અકબરને ના નમનાર એકમાત્ર મહારાણા પ્રતાપ ઉપર આજે આપણે બહુ ગર્વ કરીએ છીએ એના મૂળમાં પન્ના નામની ધાવમાતાનું બલિદાન બોલે છે. પન્ના મહારાણા પ્રતાપના પિતાશ્રી મહારાણા ઉદયસિંહનાં ધાવમાતા હતા. બાળ ઉદયસિંહને મારી નાખવા વનવીર નામનો હંગામી રાજા આવેલો ત્યારે ભવિષ્યના મહારાણા બાળક ઉદયસિંહને બચાવી લેવા એમની જગ્યાએ પોતાના બાળકને ઘોડિયામાં મરવા માટે સુવડાવી ઉદયસિંહને પન્ના દ્વારા બચાવી લેવાયા હતા. પોતાના બાળકને મરવા દઈ ભવિષ્યના એક ગ્રેટ લીડર(રાજા)ને બચાવી લેનાર પન્નાનું બલિદાન ભારતીય ઇતિહાસમાં અજોડ છે. એ મહારાણા ઉદયસિંહે ઉદયપુર નામનું સુંદર શહેર વસાવ્યું અને એમના પુત્ર તે અજોડ મહારાણા પ્રતાપ…

imagesપશ્ચિમના જગતમાં તો હવે કોઈ સ્ત્રી બ્રેસ્ટફીડીંગ માટે મુશ્કેલી અનુભવતી હોય તે ટીકાનો ભોગ બને તેવું થવા લાગ્યું છે. લોકો મનાવા તૈયાર જ ના થાય કે આવું પણ બની શકે. પણ ઈજીપ્તનો ૧૫૫૦ BC પહેલાનો એક મેડિકલ રિકોર્ડ બતાવે છે કે બાળકને દૂધ આપવા સક્ષમ ના હોય તેવી સ્ત્રીઓ માટે સારવાર ઉપલબ્ધ હતી. સ્વોર્ડફિશના ગરમ હાડકા વડે આવી સ્ત્રીઓના પીઠ પર માલીશ કરવામાં આવતી. મતલબ સ્ત્રી બાળકને પોતાનું દૂધ પિવડાવવા સક્ષમ ના હોય તે પ્રૉબ્લેમ નવો નથી.

ઈશા પૂર્વે ૩૦૦-૪૦૦ વર્ષ પહેલા પૈસાદાર રોમનો પોતાના બાળકોને દૂધ આપી શકે તેવી wet nurses સ્ત્રીઓ ગુલામ તરીકે રાખતા. પણ યુરોપમાં મધ્યયુગમાં એવો વિચાર વહેતો થયો કે wet nurse બાળકને દૂધ પિવડાવે તો એના ગુણો દૂધ મારફતે બાળકમાં આવી જાય. જેથી ધીમે ધીમે wet nurse રાખવાનું બંધ થવા લાગ્યું. ભારતમાં પણ આવી વાર્તાઓ પ્રચલિત હોય છે કે દાસીનું દૂધ તારા પેટમાં બે છાંટા આવી ગયું માટે તુ આવો પાક્યો. આમ ધાવમાતાનું મહત્વ અકારણ ઓછું થવા લાગ્યું.

ગર્ભાવસ્થા દરમ્યાન માતાના સ્તનોમાં ધીમે ધીમે જે દૂધ ભરાય છે તે બહુ કીમતી હોય છે. એમાં તમામ રોગપ્રતિકારક શક્તિઓ ભરેલી હોય છે જે માતા ધરાવતી હોય છે. બાળક જન્મે તરત આ જમા થયેલું દૂધ પહેલું આપવાનું હોય છે, પણ આપણે મૂર્ખાઓ આ દૂધ વેડફી ને ઘી અને ગોળ ચટાડીએ છીએ જે હાલ બાળકને પચે તેવું ના પણ હોય. ગાય-ભેંસના આ સુવાવડ પછીના પ્રથમ દૂધમાંથી બરફી જેવા ચોસલાં પાડી એમાં ઇલાયચી વગેરે નાખી બળી બનાવવામાં આવતી હોય છે. WHO સજેસ્ટ કરે છે કે બાળકને બ્રેસ્ટફીડીંગ ઓછામાં ઓછું બે વર્ષ તો કરાવવું જ જોઈએ.

અમેરિકામાં ગર્ભવતી મહિલાઓ માટે તે બાબતનું જ્ઞાન આપવા સારી સારી હોસ્પિટલો વર્ગ ચલાવતી હોય છે અને તેવી મહિલાઓ સારો પૌષ્ટિક ખોરાક લઈ શકે જેવા કે દૂધ, ઈંડા, બ્રેડ અને ફ્રુટ્સ માટે ૫૦ ડોલર્સના વાઉચર આપવામાં આવે છે. બ્રેસ્ટફીડીંગનાં પોતાના ફાયદાઓ બહુ મહત્વના છે તેમાં કોઈ શક છે જ નહિ. પશ્ચિમની સ્ત્રીઓ તો આ ફાયદા સમજીને ઝડપથી બ્રેસ્ટફીડીંગનું મહત્વ સમજવા લાગી છે અને બીજી સ્ત્રીઓની હેલ્પ વગર એકલી જ એમાં આગળ વધવા લાગી ગઈ છે. થોડીવાર લાગશે પણ ઘડિયાળનું લોલક પાછું એના સ્થાને જતું હોય તેવું લાગશે. 1364583545260_cached