ખાલીસ્તાન ચળવળ, આઝાદીનો અપચો-૨ :- ભૂપેન્દ્રસિંહ રાઓલ, સ્ક્રેન્ટન, પેન્સીલવેનિયા…
ભારતમાં સરેરાશ દોઢ કરોડ શીખો હશે. એમાંના મોટાભાગના લગભગ પંજાબમાં ૬૧ ટકા બીજા નંબરની બહુમતિ હિંદુઓ સાથે રહે છે. આઝાદી પછી પંજાબ સંકોડાતું રહ્યું છે. ભાષા પ્રમાણે આલગ રાજ્યો બનવા લાગ્યા એમ પંજાબના પણ ભાગ થઈ થઈને નાનું બનતું ગયું. ગુજરાત પહેલા મુંબઈ રાજ્ય સાથે સંલગ્ન હતું. બૃહદ મુંબઈ રાજ્ય કહેવાતું જેના મુખ્યમંત્રી મોરારજી દેસાઈ રહી ચુકેલા હતા. એ મોટા મુંબઈ રાજ્યમાંથી ગુજરાત માટે અલગ ગુજરાતની માંગ કરવામાં આવી ત્યારે મોરારજી કહેતા મારી લાશ પરથી ગુજરાત લેજો. ઇન્દુચાચા મતલબ ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ મહાગુજરાતની લડાઈ ચાલેલી. ઇન્દુચાચા સામે જવાહરલાલ નહેરુ ચૂંટણીમાં ઉભા રહે તો પણ હારી જાય એવું કહેવાતું. છેવટે ૧૯૬૦માં ગુજરાતી ભાષા પ્રમાણે ગુજરાત અલગ રાજ્ય બન્યું. આબુ ગયું રાજસ્થાનમાં એનું સાટું વાળવા મોરારજીએ ડાંગ જિલ્લો બનાવી સાપુતારાના સુંદર ડુંગરો ગુજરાતને અપાવ્યા. લાશ પરથી ગુજરાત લેજો વાત મોરારજી ભૂલી ગયા, પણ ઘર એમનું મુંબઈમાં રહ્યું કાયમ માટે.
પંજાબમાંથી પણ ટુકડા થવા લાગેલા. હિન્દીભાષી એક ટુકડો હરિયાણા બન્યો તો ઉત્તરમાં રહેલો અમુક પહાડી પ્રદેશ ભેગો થઈને હિમાચલ પ્રદેશ બન્યો. આજે પણ રાજસ્થાન, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં શીખોની સારી એવી વસ્તી છે. એક સમયે પાકિસ્તાનના ખાસા બધા પ્રાંત, ઉત્તરમાં છેક કાશ્મીર સુધી ને નીચે રાજસ્થાન સુધી શીખ સામ્રાજ્યનો પરછમ લહેરાતો હતો તે નાનું ને નાનું બનતું જાય છે. કેન્દ્ર સરકારની સત્તામાં કાપ અને રાજ્ય સરકાર પાસે વધુ સત્તા મતલબ પાવરની માંગ સાથે શીખોનાં અલગ રાજ્યની માંગણી શરુ થઈ એમાં આર્યસમાજી હિંદુઓ સાથેનો ધાર્મિક, સૈદ્ધાંતિક સામાજિક વિખવાદનો પણ મહત્વનો ભાગ હતો. બધા શીખો ભારત વિરોધી નહોતા અને છે પણ નહિ અને હોય પણ નહિ. ગુજરાતીઓએ એમની આગવી આઇડેન્ટિટી માટે મહાગુજરાતની ચળવળ ચલાવી અને અલગ ગુજરાત માંગ્યું અને મળ્યું એમાં ભારત વિરોધ ક્યા હતો? બસ શીખોનું પણ એવું જ હતું.
૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનનો પરાજય અને બાંગ્લાદેશ રૂપી પૂર્વ પાકિસ્તાન છુટું પડી ગયું તે પરાજયનો અપરાધબોધ પાકિસ્તાનને બરોબર પીડતો હતો. આ તેજોવધ ભૂલાય તેવો નહોતો. તો તે યુદ્ધ સમયે પાકિસ્તાનની મદદે પોતાનો સાતમો નૌકા કાફલો રવાના કરવાના ઓર્ડરને સ્થગિત કરવો પડ્યો તે તેજોવધ અમેરિકાના પ્રમુખ નીક્શન પણ ભૂલે તેમ નહોતા. લોખંડી વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ યુદ્ધ વખતે રશિયા ભારત પડખે રહે તેવા લશ્કરી કરાર કરીને અમેરિકન પ્રમુખને જબરી શિકસ્ત આપી હતી. ૧૯૭૧ના યુદ્ધ વખતે અમેરિકા પાકિસ્તાનને મદદ કરે તો રશિયા ભારતના પડખે તરત ચડે. એ પરાજયનો બદલો ગમે તે રીતે વાળ્યા કરવો તે પાકિસ્તાનની મકસદ હતી. ગામ હોય ત્યાં ઉકરડો તો હોવાનો જ. એટલે થોડા અલગાવવાદી શીખો શોધી તેમને અલગ ખાલીસ્તાન નામનો દેશ બનાવવાના અને તેમાં રાજ કરવાના રંગીન સપના બતાવવામાં પાકિસ્તાન અમેરિકાને બહુ વાર લાગે નહિ.
પંજાબ પ્રાંત સદીઓ સુધી હિંદુ રાજાઓના હાથ નીચે રહ્યો, ૫૦૦ વર્ષ મુસ્લિમ શાસકોના હાથ નીચે અને બહુ ટૂંકા સમય માટે મહારાજા રણજીતસિંહ(૧૭૭૯-૧૮૩૯) નીચે રહ્યો. લાહોર એમની રાજધાની હતી. મહારાજા રણજીતસિંહ છેક ઈરાન સુધી આંટો મારી આવેલા અને નાદીરશાહની લુંટનો બદલો વાળી આવેલા. કોહીનુર હીરો તે ઈરાનથી પાછો લઇ આવેલા. કોઇથી નહિ હારનારા અને ડરનારા અફઘાનીઓના પાયજામાં મહારાજા રણજીતસિંહ અને એમના સેનાપતિ હરિસંહનું નામ સાંભળી પલળી જતાં. પેલા પ્રખ્યાત ગીત મેરે દેશ કી ધરતી સોના ઉગલેમાં રંગ હરા હરિસિંહ નલવેસે ગવાય છે તે આ હરિસિંહ મહારાજા રણજીતસિંહનાં સેનાપતિ હતા. ૧૯૩૯મા મહારાજા રણજીતસિંહનું અવસાન થયું પછી એમના વારસદારો સાવ નબળા અને કાવાદાવામાં ભરપુર હતા. અંગ્રેજો સાથે બે યુદ્ધ થયા પછી ૨૯ માર્ચ ૧૮૪૯મા શીખ સામ્રાજ્યનું પતન થયું. પંજાબમાં કોલોનિયલ એરા વખતે પશ્ચિમમાં શીખોને મુસ્લિમ બહુમતિ સાથે રહેવાનું આવ્યું, પૂર્વમાં હિંદુ બહુમતિ સાથે અને મધ્યમાં એમની બહુમતિ રહી. બ્રિટીશ રાજ વખતે શીખો લશ્કરમાં ભરતી થવામાં અવ્વલ રહેવા માંડ્યા. પહેલા વિશ્વયુદ્ધ વખતે ભારતના બ્રિટીશ લશ્કરમાં ત્રીજા ભાગના શીખો હતા. મૂળે શીખ ધર્મ હિંદુ ધર્મમાંથી વિકસેલો હતો એટલે હિંદુઓ સાથે વિખવાદનો કોઈ જુનો ઈતિહાસ હતો નહિ ઉલટાનું મુસ્લિમો સાથે સુમેળ ઓછો હોય તે સ્વાભાવિક હતું.
અત્યારે આપણે પાઘડીધારી, દાઢીધારી, હાથમાં કડા પહેરેલા કરડા શીખો જોઈએ છીએ તે શું પહેલેથી એવા હતા? નાં જરાય એવા નહોતા. ૧૪૬૯મા ગુરુ નાનકે પંથ સ્થાપ્યો ત્યારે શીખો મોટા ભાગે નીચલા માધ્યમ વર્ગના ખાસ તો વેપારી, ખેડૂતો ને મોટાભાગે જાટ કોમમાંથી વધુ આવેલા હતા. ૨૦૦ વર્ષ પછી છેલ્લા ગુરુ ગોવિંદસિંહે શીખ પ્રજામાં આમૂલ પરિવર્તન લાવી દીધું. ખાલસા પંથની સ્થાપના કરી, ગુરુ પ્રથા બંધ કરી, પાંચ ‘ક’ ધારણ કરવાના, કેશ, કિરપાણ, કંગ, કછ, અને હાથે કડું.. નામની પાછળ સિંહ લગાવવાનું ગુરુએ શરુ કરાવ્યું. ગુરુ ગોવિંદસિંહનું ખુદનું નામ ગોવિંદરાય હતું. એક સીધીસાદી કોમને લડાયક બનાવી દેવામાં એક મહાન ગુરુનો હાથ હતો. અને કોઈ લડાયક કોમને બાયલી બનાવવી હોય તો પણ મહાન ગુરુઓ કરી શકે.
૧૯મી સદીના અંત ભાગમાં હિંદુ અને શીખ ધર્મમાં પુનરુત્થાન સમય શરુ થયો ને બે કોમ વચ્ચે વિરોધની લાઈન વધુ શાર્પ થવા લાગી. એક બાજુ આર્યસમાજનું જોર વધવા માંડ્યું તો બીજી બાજુ સિંઘસભા મુવમેન્ટ શરુ થઈ. ૧૯૨૦મા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીની રચના ઓર્થોડોક્સ શીખો દ્વારા થઈ તો ૧૯૨૫મા અંગ્રેજોએ Sikh Gurudwaras and Shrines Act of 1925 બનાવી તમામ ગુરુદ્વારા અને પવિત્ર સ્થળોનો વહીવટ SGPC ને સોપી દીધો. એમાં ચુંટણી થતી પણ અકાલીદળનો કંટ્રોલ રહેતો. અકાલીદળ હવે મહત્વની રાજકીય પાર્ટી બની ચુકી હતી. અકાલીદળ એકલા શીખો નહિ પણ બધા પંજાબીઓનું પ્રતિનિધિત્વ કરે છે તેવો ટ્રાય SGPC પણ કરતું. પરંતુ આ બધાને કોઈ સેપરેટ રાજ્ય નહિ પણ સેપરેટ ઓળખ જોઈતી હતી. સેપરેટ પ્રતિનિધત્વ જોઈતું હતું. ૧૯૨૧મા શીખો માટે અલગ મતદારમંડળ અંગ્રેજોએ પાસ કરી દીધું હતું.
‘આપણે ભાગલા પાડો રાજ કરો’, અંગ્રેજોની નીતિ કહીએ છીએ પણ અંગ્રેજો એ શીખ્યા ક્યાંથી? બ્રિટીશ રાજમાં સૂર્ય કદી આથમતો નહોતો. આખી દુનિયામાં ઠેર ઠેર બ્રિટીશ રાજ કરતા હતા. કદી સાંભળ્યું એના કોઈ જનરલે કે વાઇસરોય બળવો કરી સ્વતંત્ર રાજ પચાવી બેસી ગયા હોય? હજુ ય ભલે સ્વતંત્ર હોય પણ ઓસ્ટ્રેલીયા અને કેનેડા બ્રિટીશ રાજ કહેવાય. આપણે તો રાજા નબળો પડે તેની રાહ જોતા હોય તેના સેનાપતિઓ અને સૂબાઓ, તરત પોતાને સ્વતંત્ર રાજા ઘોષિત કરી દે. શિવાજીના વારસદાર નબળા પડ્યા તો પેશ્વા રાજા બની બેઠા ને પેશ્વા નબળા પડ્યા તો એમના સેનાપતિઓ સિંધિયા, હોલકર અને ગાયકવાડ મહારાજાઓ બની બેઠા કોઈ પેશ્વા કે છત્રપતિને વફાદાર રહ્યું? આ દેશમાં બધાને રાજાની પદવી જોઈતી હોય તો અંગ્રેજ જ ફાવે ને? ભાગલા પાડો આપણી પોતાની માનસિકતા જ છે અને રાજ કરો તે અંગ્રેજોની માનસિકતા છે.
જિન્નાહને મુસ્લિમ રાજ જોઈતું હતું તો કોંગ્રેસને હિંદુ બહુમતવાળું સેક્યુલર રાજ જોઈતું હતું એમાં શીખો વચમાં સપડાઈ ગયા, એમનું શું? એમણે આઝાદ પંજાબની વિભાવના ઉભી કરી તે પણ અલગ શીખ રાજ્ય તરીકે નહિ પણ કોઈ કોમનું પ્રભુત્વ નહિ, ૪૦ ટકા હિંદુ, ૪૦ ટકા મુસ્લિમ હોય, ૨૦ ટકા શીખ હોય. પંજાબી કલ્ચરનું પ્રભુત્વ હોય બસ. બ્રિટીશને તે અવ્યવહારુ લાગ્યું અને ભારતના નેતાઓએ તે પ્લાન રીજેક્ટ કર્યો. અકાલી દળે શીખ ઈકોનોમી, ધર્મ, અને સાંસ્કૃતિક હકનાં રક્ષણ માટે માર્ચ ૧૯૪૬માં અલગ શીખ રાષ્ટ્રની જાહેરાત કરેલી પણ કોંગ્રેસના નેતાઓએ સ્વતંત્ર ભારતમાં શીખોને સ્પેશલ દરજ્જો મળશે તેવું વચન આપ્યા પછી તે માંગણી પડતી મુકેલી. આમ અકાલીદલની અલગ શીખ રાષ્ટ્રની માંગણી આઝાદી વખતની ૧૯૪૬ થી આઝાદી પહેલાથી જ હતી. આમાં ઇન્દીરાજીનો કોઈ હાથ નહોતો કે જ્ઞાની જૈલસિંહનો કોઈ હાથ નહોતો. આઝાદી પહેલા આ લોકોનું રાજકારણમાં શું વજૂદ હતું? ભાગલા પડ્યા પછી પાકિસ્તાનમાં રહેલાં શીખો પણ પંજાબમાં આવી ગયા. જુદે જુદે ફેલાયેલી લઘુમતી કરતા હવે ભૌગોલિક રીતે નાના એરિયામાં એમની બહુમતિ થઈ. હવે તેઓ એમની ભાષા, કલ્ચર, ધર્મ, રીતિરિવાજને વધુ સારી રીતે સંભાળી શકે એવા થયા એટલે પંજાબ શીખો માટે પવિત્ર હોમલેન્ડની વિભાવના જે કાલ્પનિક વધુ હતી તે વાસ્તવિક પ્રોજેક્ટ તરીકે વધુ નજર આવવા માંડ્યો.
ભાગલા પછી ભાષાનો પ્રશ્ન મહત્વનો ભાગ ભજવવા માંડેલો. ગાંધીજીની સલાહથી હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો મળ્યો, ઉર્દૂને પછડાટ મળી એમાં. મોટાભાગની પ્રાંતીય ભાષાઓને બંધારણમાં કાયદેસરની ગણવામાં આવી. ઉત્તર ભારતમાં મોટોભાગે લોકો હિન્દી બોલતા એટલે તેને ઓફિસિયલ લેન્ગવેજનો દરજ્જો મળ્યો તો અંગ્રેજી સરકારી કામકાજમાં વપરાતી. પંજાબી, ઉર્દુ અને સિંધીને સ્વતંત્ર ભારતમાં એટલું મહત્વ મળ્યું નહિ. પંદરમી સદીમાં શરુ થયેલ શીખ સમુદાય એક ધાર્મિક ઉપાસકમંડળમાંથી અઢારમી સદીમાં એથનિક કોમ્યુનીટીમાં રૂપાંતરિત થઈ છેક લેટ વીસમી સદીમાં શીખ રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યો. ખેતી આ દેશની જીવાદોરી છે. પણ દરેક સરકારો ખેતી પ્રત્યે દુર્લક્ષ સેવતી હોય છે. ભાખરા નાંગલ બંધને લીધે પંજાબ, હરિયાણા લીલાછમ ભલે બન્યા પણ ખેડૂતોને બહુ નફો મળતો હોતો નથી. પંજાબની રાજ્ય સરકારો ખેતીને મહત્વ આપતી તો કેન્દ્ર સરકારો ઉદ્યોગોને. પંજાબ હરિયાણા વચ્ચે પાણીની વહેચણી માટે પણ ડખા થતા. મૂળે અકાલીદળની રાજકીય મહત્વાકાંક્ષા અતિશય હતી. અકાલીદળને ધીમે ધીમે સ્વતંત્ર શીખ રાષ્ટ્ર તરફ ધસવું હતું. ૧૯૫૫મા પંજાબી સુબા નામનું જબરદસ્ત કેમ્પેન ચલાવેલું તેમાં ૨૬૦૦૦ શીખોની ધરપકડ કરવામાં આવેલી. ૧૯૬૦-૬૧મા કેન્દ્ર સરકાર સાથે સમાધાન માટે વાટાઘાટોનાં પરિણામે પાર્ટીનું સંચાલન માસ્ટર તારાસિંહનાં હાથમાંથી સંત ફતેહસિંહનાં હાથમાં આવ્યું. પછી પંજાબી સ્પિકિંગ સ્ટેટની માંગણી આવી, પછી ૫૬ ટકા શીખ બહુમતીવાળા રાજ્યની માંગણી આવી. જવાહરલાલ નહેરુના અવસાન પછી ૫૪ ટકા શીખો અને ૪૪ ટકા હિંદુ બહુમતિ વાળું પંજાબ બનાવવામાં આવ્યું અને હરિયાણા, હિમાચલ અલગ થયા.
અકાલીઓ તેમ છતાં પોતાની સરકાર બનાવી શકતા નહોતા. કારણ શીખોનાં મત ખુદ અકાલીદળ, કોંગ્રેસ અને સામ્યવાદી પાર્ટી વચ્ચે વહેચાયેલા હતા. છેવટે એમને ચાન્સ મળી ગયો. ઈન્દિરાજી ઈમરજન્સી પછી ઉથલી પડ્યા અને જનતાપાર્ટીનાં સહયોગ વડે અકાલીઓએ ૧૯૭૭મા સરકાર બનાવી. તે પહેલા ૧૯૭૩મા આનંદપુર સાહેબ ઠરાવ રજુ કરવામાં આવ્યો હતો, એમાં શીખોને વધુને વધુ સ્વાયત્તા મળે તેવા મુસદ્દા ઘડવામાં આવેલા. ચંદીગઢ હરિયાણા પંજાબ બંનેની રાજધાની હતી તેને બદલે ખાલી પંજાબને આપી દેવામાં આવે, શીખોની બહુમતિ હોય આસપાસના રાજ્યોમાં તેવા એરિયા ફરી પાછા પંજાબમાં સમાવી નવી બોર્ડર બનાવવી, આખા ભારતના ગુરુદ્વારા SGPC અન્ડર કરવા, પંજાબ બહાર જે શીખો રહેતા હોય તેમણે લઘુમતી તરીકે વિશિષ્ટ હક આપવા વગેરે વગેરે.
ટૂંકમાં ગુપ્ત રીતે પાકિસ્તાનની દોરવણી હેઠળ જાતજાતના બહાના કાઢી અલગ પંજાબ અલગ રાષ્ટ્ર માટે શીખોના મગજ ફેરવી નાખવા અને રાજકીય રોટલા શેકવા તે અકાલીદળની ચાલબાજી રહેતી. આનંદપુર સાહેબ ઠરાવને ધર્મયુદ્ધ તરીકે ૧૯૮૧મા જાહેર કરવામાં આવ્યો અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ બીજી ૪૫ માંગણીઓ કેન્દ્ર સરકાર આગળ રજુ કરી દીધી અને Sikhs are nation નામનું સૂત્ર આપ્યું. એમાં નદીઓના પાણીની વહેચણી અને શીખ પર્સનલ લો પણ આવી જાય. શીખ એઝ એ સેપરેટ નેશન, અમૃતસર પવિત્ર શહેર અને ખાલીસ્તાન સ્લોગન હવે હિન્દુઓને પણ કઠવા લાગે તે સ્વાભાવિક છે.
૧૯૭૭મા અકાલીદળનું જનતા પાર્ટી સાથે ગઠબંધન અને SGPC પર પુરો કાબુ, હવે એમને નાથવા ઇન્દિરાજીએ એક બહુ મોટી ભૂલ કરી જે સ્વાભાવિક રાજકારણમાં નેતાઓ કરતા જ હોય છે તે હતી સંત જરનૈલસિંઘ ભીન્દારાનવાલેને હંગામી સપોર્ટ. ભીન્દારાનવાલે એક સામાન્ય પ્રિચર ધાર્મિક પ્રચારક, કથાકાર જેવો હતો જેના નામ આગળ સંત લાગતું. તે પણ બહુ મોટી માયા નીકળ્યો શરૂમાં કોંગ્રેસનો સાથ લીધો રાજકીય આર્થીક મદદ લઇ તરત અકાલીઓના ખોળામાં બેસી ગયો અને ત્યાં એમનું પણ શોષણ કરવા માંડ્યો. ધીમે ધીમે એના ભય અને આતંક આગળ અકાલીદળ અને SGPC ઘૂંટણીએ પડી ગયા. આમ ખાલીસ્તાન અલગ શીખોનો દેશ ચળવળના મૂળ ઊંડા અને જુના હતા અને કારણો અનેક હશે.
મિત્રો વધુ રસપ્રદ ભાગ પછીના અંકમાં જોઈશું..
ભૂપેન્દ્રસિંહ રાઓલ,
સરસ માહિતીપૂર્ણ લેખ. કમ નસીબે પહેલો ભાગ મને મળ્યો નથી. મોકલવા વિનંતી.
ફિરોઝભાઈ.
ટોરંટો, કેનેડા.
________________________________
LikeLike
અહીં છે જ.. મેનુમાં જઈ index માં જાઓ અથવા scroll કરો..
LikeLike
પંજાબી હિંદુઓમાં એક રિવાજ છે. કોઈ દંપતીને સંતાન ના થતા હોય તો તેઓ ગુરુ
નાનક કે ગોવિંદસિંહજી ની ‘મિન્નત’ (બાધા) લે કે જો તેમને પુત્ર જન્મશે તો તેને
તેઓ શીખ બનાવશે. મારા એક મિત્ર, જે પોતે શીખ હતા પણ તેમના માતાપિતા અને ભાઈ
બેનો બધા હિન્દુ હતા, પાસેથી આ વાત જાણવા મળેલી. આવા શીખોને અન્ય હિંદુઓ માટે
અણગમો તો ના જ હોય. આ પણ એક કારણ હતું કે ખાલિસ્તાન ચળવળ સફળ ના થઇ શકી.
2018-02-28 23:33 GMT-05:00 કુરુક્ષેત્ર :
> Bhupendrasinh Raol posted: ” ખાલીસ્તાન ચળવળ, આઝાદીનો અપચો-૨ :-
> ભૂપેન્દ્રસિંહ રાઓલ, સ્ક્રેન્ટન, પેન્સીલવેનિયા… ભારતમાં સરેરાશ દોઢ કરોડ
> શીખો હશે. એમાંના મોટાભાગના લગભગ પંજાબમાં ૬૧ ટકા બીજા નંબરની બહુમતિ હિંદુઓ
> સાથે રહે છે. આઝાદી પછી પંજાબ સંકોડાતું રહ્યું છે. ભાષા પ્રમાણે આલગ રાજ્”
>
LikeLike
“ભાગલા પાડો આપણી પોતાની માનસિકતા જ છે અને રાજ કરો તે અંગ્રેજોની માનસિકતા
છે. ” સાવ સાચી વાત.
મેં સંસ્કૃત ડિક્ષનરીમાં તપાસ કરી. અંગ્રેજીમાં loyalty શબ્દ મૂકી તેનું
સંસ્કૃત પર્યાય શોધ્યું. ના મળ્યું. જે સંસ્કૃત શબ્દો મળ્યા તે ‘વફાદારી’
સૂચક નથી. ‘વફાદારી’ અરબી અથવા ફારસી શબ્દ છે. આપણી સંસ્કૃતિમાં ‘વફાદારી’
નું મહત્વ નહોતું એમ જણાય છે.
2018-02-28 23:33 GMT-05:00 કુરુક્ષેત્ર :
> Bhupendrasinh Raol posted: ” ખાલીસ્તાન ચળવળ, આઝાદીનો અપચો-૨ :-
> ભૂપેન્દ્રસિંહ રાઓલ, સ્ક્રેન્ટન, પેન્સીલવેનિયા… ભારતમાં સરેરાશ દોઢ કરોડ
> શીખો હશે. એમાંના મોટાભાગના લગભગ પંજાબમાં ૬૧ ટકા બીજા નંબરની બહુમતિ હિંદુઓ
> સાથે રહે છે. આઝાદી પછી પંજાબ સંકોડાતું રહ્યું છે. ભાષા પ્રમાણે આલગ રાજ્”
>
LikeLike