સોમનાથ મંદિર સૌથી વધુ વખત તોડાયેલું

untitled

 

સોમનાથ મંદિર સૌથી વધુ વખત તોડાયેલું

 

સૌરાષ્ટ્રના વેરાવળ નજીક પ્રભાસ ક્ષેત્રમાં વસેલું સોમનાથ મંદિર કદાચ દુનિયાનું પહેલું એવું મંદિર હશે જે સૌથી વધુ વખત તોડાયું છે અને ફરીફરી બંધાયેલું છે. આશરે સોળેક વખત તોડાયું હશે. છેલ્લે ૧૯૪૭મા સરદાર વલ્લભભાઈ પટેલે એને ફરી બાંધવાનો નિર્ણય લીધો, એમના મૃત્યુ પછી ક.મા. મુનશીની દેખરેખ નીચે બાંધકામ ચાલુ રહ્યું.

આમ તો શિવલિંગ સૃજનનું પ્રતીક છે. આ સર્જન અને વિસર્જન પ્રક્રિયાનો કોઈ આરંભ કે અંત હોય નહિ. પુરાણોની વાર્તાઓ પ્રતીકાત્મક હોય છે. સોમનાથ સાથે એવા ૧૨ જ્યોતિર્લિંગ ભારતમાં છે. બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે પ્રકાશનો એક સ્તંભ ઊભો થઈ ગયેલો અને એના આદિ અને અંત પામવા બંને નીકળી પડેલા એવી પ્રતીકાત્મક વાર્તા છે. સોમનાથ વિષે એક બીજી વાર્તા ચંદ્રની છે. ચંદ્ર દક્ષ પ્રજાપિતાની ૨૭ દીકરીઓ સાથે પરણેલો હોય છે, પણ ફક્ત રોહિણીને મહત્વ આપતો હોય છે. દક્ષ એને શ્રાપ આપે છે તેનું નિવારણ કરવા પ્રભાસ ખાતે શિવલિંગની સ્થાપના કરી શિવની ભક્તિ કરી શ્રાપમુક્તિ મેળવે છે. ચંદ્ર સોમનાથનું સોનાનું મંદિર બનાવે છે. ત્યાર પછી રાવણ ચાંદીનું મંદિર બનાવે છે, અને ભગવાન શ્રી કૃષ્ણ સુખડના લાકડાનું બનાવે છે. મતલબ સોમનાથ મંદિર વારંવાર બનાવવાનો સિલસિલો બહુ પ્રાચીન લાગે છે. જોકે એટલાં જુના પુરાવા મળવા મુશ્કેલ છે.

 

કૉમન એરા શરુ થાય તે પહેલા અહીં મંદિર હતું તેવું કહેવાય છે. જુના મંદિરને સ્થાને વલ્લભીના યાદવ રાજા સન ૬૪૯મા બીજું મંદિર બંધાવે છે. સન ૭૨૫માં સિંધના આરબ ગવર્નર જુન્નેદ એનું લશ્કર મોકલીને તોડાવી નાખે છે. અહીં એના તોડવાની શરૂઆત થઈ હોય તેવું માનવું યોગ્ય છે. તે પહેલા મંદિર જર્જરિત થઈ જતા નવા બનાવવા પડ્યા હશે. સન ૮૧૫મા ગુર્જર પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજા લાલ પથ્થરનું મોટું ભવ્ય મંદિર બનાવે છે. આશરે ૧૦૨૪ની સાલ હશે. મહમદ ગઝની સોમનાથ મંદિર ઉપર ચડી આવેલો. પાટણના સોલંકી રાજા ભીમદેવ ક્યાંક કચ્છમાં ભાગી ગયેલા. લાઠીના કુંવર હમીરજી ગોહિલ આશરે ત્રણસો કે ચારસો રાજપૂતો લઈને ગઝની સામે લડવા ગયેલા. સ્વાભાવિક છે કે એમને ખબર જ હોય કે આટલાં મોટા લશ્કર સામે લડવું એટલે મોત જ મળવાનું છે, બધા કપાઈ મર્યા. આ હમીરજી એટલે પ્રખ્યાત કવિ કલાપીના પૂર્વજ. આઝાદીના ૬૦ વર્ષ બાદ સરકારે હમીરજીનું સ્મારક બનાવ્યું છે. અલ્લાઉદ્દીન ખીલજી ચિતોડ ઉપર ચડી આવેલો ત્યારે પણ રજપૂતોએ કેસરિયા કરેલા. થરનું રણ પાર કરીને આવેલો મહંમદ ગઝની ૧૦૨૪મા એને તોડી નાખે છે. ગઝનીએ મંદિર એક જ વાર તોડ્યું છે તેવું ઈતિહાસકારો માને છે. ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે પણ ફક્ત બેવાર લડાઈ થઈ હતી. એકવાર ઘોરી હારીને ભાગી ગયેલો બીજી વાર પૃથ્વીરાજ હારેલો. ૧૦૨૬ અને ૧૦૪૨ વચ્ચે મળવાના રાજા ભોજ અને ગુજરાતના ભીમદેવ સોમનાથને ફરી બંધાવે છે. સિદ્ધરાજ જયસિંહ પછી આવેલા રાજા કુમારપાળ પણ એનો જીર્ણોદ્ધાર કરાવે છે. ૧૨૯૬મા સુલતાન અલ્લાઉદ્દીન ખીલજી એને ફરી તોડી નાખે છે. ૫૦ હજાર હિન્દુઓની હત્યા થાય છે. ૨૦ હજાર ગુલામો તરીકે લઈ જવાય છે. કાળોકેર વર્તાવાય છે. ૧૩૦૮મા સૌરાષ્ટ્રના રાજા મહીપાલદેવ ચૂડાસમા એને ફરી બંધાવે છે અને એમનો દીકરો ખેંગાર આશરે ૧૩૨૬મા એમાં લિંગની પ્રતિષ્ઠા કરે છે. ફક્ત ૨૫-૫૦ વર્ષ પછી ગુજરાતનો સુલતાન મુઝફ્ફર શાહ ૧૩૭૫માં ફરી એને તોડી નાખે છે. ૧૪૫૧મા વળી પાછો મહંમદ બેગડો એને ફરી તોડી નાખે છે. ૧૭૦૧માં પાછું ઔરંગઝેબ એને તોડી નાખે છે, અને તે મંદિરના સ્તંભ વાપરી ત્યાં મસ્જિદ બનાવી નાખે છે. નાગપુરના રાજા ભોંસલે, પુનાના પેશ્વા, ગ્વાલિયરના શ્રીમંત પાટીલબુવા અને ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકરના સંયુક્ત પ્રયાસ વડે ૧૭૮૩મા આ સોમનાથનું મંદિર ફરી બંધાવાય છે.

 

૧૯૪૭મા સરદાર, મુનશી અને બીજા કોંગ્રેસીઓ ગાંધીજીને મળે છે અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે પ્રપોઝલ મૂકે છે. ગાંધીજી આગળ વધવાના આશીર્વાદ આપતા સૂચન કરે છે કે મંદિર બાંધવામાં થતા ખર્ચની જોગવાઈ પબ્લિક ફંડમાંથી કરવી, સરકાર પૈસા વાપરે તે યોગ્ય નથી. ગાંધી અને સરદાર તો બાંધકામ પૂરું થાય તે પહેલા મૃત્યુ પામે છે. નહેરુ સરકારના ફૂડ અને સિવિલ સપ્લાય મિનિસ્ટર એવા ક.મા. મુનશીની દેખરેખ નીચે બાંધકામ પૂરું થાય છે. હિંદુ ધાર્મિક પુનરુજ્જીવનનાં પ્રયત્ન રૂપે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારને ઓળખ આપવાનાં મુનશી અને રાજેન્દ્રબાબુનાં પ્રચાર પ્રત્યે નહેરુ પોતાની નારાજગી દર્શાવતા. હાલનું મંદિર ચૌલુક્ય સ્ટાઇલ કે મહામેરુ પ્રસાદ સ્ટાઇલનું ગણાય છે જે સોમપુરા ફૅમિલીની કમાલ ગણાય છે. આ મંદિરની એક ખૂબી એ છે કે આ મંદિર અને એન્ટાર્કટિકા વચ્ચે કોઈ જમીન કે ટાપુ છે નહિ..અહીં જે બાણસ્તંભ છે તેનો એરો દર્શાવે છે કે દક્ષિણ ધ્રુવથી શરુ કરો તો આ પહેલો લેન્ડમાર્ક છે. અને અહીંથી સીધા જાવ તો દક્ષિણ ધ્રુવ પહોચી જાવ. ૧૮૪૨મા અફઘાન વિજય મેળવીને અંગ્રેજો દ્વારા ગઝનીની કબર પરથી લવાયેલા મૂળ સોમનાથ મંદિરના ગણાતા સુખડના દરવાજા હજુ આગ્રા ફૉર્ટમાં ક્યાંક પડ્યા હશે. ઇતિહાસકાર રોમીલા થાપર આને હિંદુ મુસ્લિમ વૈમનસ્ય વધારવાની અંગ્રેજોની ચાલબાજી ગણે છે.

 

અંગ્રેજો ચાલબાજ હતા એમાં કોઈ શક નથી. અંગ્રેજો પહેલા પણ એને તોડવાની વિનંતી અકબરના સેનાપતિ મિરઝા પાસે પ્રભાસ શહેરના કાજી દ્વારા કરાઈ હતી. આમ બે કોમ વચ્ચે વૈમનસ્ય તો હતું જ અને તે પણ અંગ્રેજોનાં આગમન પહેલા..થાપરની થિયરીમાં અનેક છીંડા છે. ઇસ્લામ પહેલા આરબો કોઈ માતાને માનતા હતા. દેવીપૂજક હતા. તે દેવીની મૂર્તિઓ કોઈ કારણસર ભારત આવી ગઈ અને સોમનાથમાં સ્થપાઈ ગઈ મહાદેવ તરીકે? એને તોડવા ગઝની આવેલો? ચાલો માની લીધું પણ ગઝની તોડી ગયા પછી અનેકવાર શું કામ તોડવું પડે? પેલી માતાની મૂર્તિઓ ક્યાં એમાં હતી? મૂળે મૂર્તિભંજન દરેક આક્રમણકારીની ફરજ હતી. વૈમનસ્ય વધારવા તો મંદિર તોડતા હતા. નબળી કોમ શાંતિમંત્રણાઓ કે વૈમનસ્ય ના વધે તેવી વાતો કરતી હોય છે. જબરી કોમને ભાઈચારાની પડી હોતી નથી.

 

ગઝનીના સૈન્યમાં હિંદુઓ હશે તેમાં નવાઈ નહિ. મહારાજા રણજીતસિંહ અને ગુરુ ગોવિંદસિંહનાં લશ્કરમાં પણ મુસ્લિમ સૈનિકો કામ કરતા જ હતા. એમની વફાદારી જેતે રાજા પ્રત્યે હોય છે. અકબરના સેનાપતિ તરીકે ઘણીવાર હિંદુ રાજાઓ જતા. અંગ્રેજોના લશ્કરમાં બધા અંગ્રેજો હતા? હિંદુ અને મુસ્લિમ સૈનિકો વડે જ અંગ્રેજોના લશ્કર શોભતા હતા. જામનગરના પ્રિન્સ રાજેન્દ્રસિંહજી જર્મન મોરચે લડેલા હતા. અંગ્રેજો ગયા પછી એમણે ભારતીય લશ્કરમાં ઘણો ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરેલો. બીજા વિશ્વયુદ્ધમાં ખભેખભા મિલાવીને જે લોકો લડેલા તે જ લોકો આઝાદી પછી સામસામે લડેલા.. મરાઠાઓના લશ્કરમાં પણ મુસ્લિમ સૈનિકો અને અફસરો હતા. અંગ્રેજોએ જે લોકોનો વિનાશ કર્યો કહેવાય છે તે પીન્ઢારા મોટાભાગે મુસ્લિમ પઠાણો હતા અને આ પીન્ઢારા હિંદુ રાજાઓ માટે પણ કામ કરતા હતા. એમનું કામ યુદ્ધ પછીનું રહેતું, આ વધારાનું સૈન્ય હતું જે કામકાજના વળતર તરીકે જીતેલા પ્રદેશોમાં લૂંટ ચલાવી લેતા એમને કોઈ પગાર મળતો નહિ. રાજાઓ નબળા પડતા પીન્ઢારા વકરી ગયા હતા.

 

આ સોમનાથ મંદિર ગઝની સિવાય અનેક લોકોએ તોડ્યું છે. ગઝની પછી પણ કેટલા બધાં મુસ્લિમ સુલતાનોએ એને તોડ્યું છે? ખુદ ગુજરાતના સુલતાન મહમ્મદ બેગડાએ પણ એને તોડ્યું છે. છેલ્લે ઔરંગઝેબે પણ તોડેલું. જેમ જેમ આ મંદિર તોડાતું જતું હતું તેમ તેમ હિન્દુઓ માટે તે વધારે મહત્વનું બનતું જતું હતું તેમ લાગે છે અને તેથી એને વારંવાર તોડીને હિન્દુઓને નાલેશીના દરિયામાં નાખવાના કાયમ પ્રયત્નો થતા હશે. સોમનાથ મંદિર તોડવાની જાણે એક હરીફાઈ કે ફૅશન થઈ પડી હતી. બીજા અનેક મંદિરો ભારતમાં હતા અને છે. પણ બીજા મંદિરો બાબતે આવું કેમ નહોતું બનતું તે પણ વિચારવા જેવું છે. ગઝની ખાલી લૂંટારો હતો માટે મંદિર તોડેલું માનવું વધુ પડતું છે. ઇસ્લામનો ફેલાવો અને મૂર્તિભંજન મુસ્લિમ આક્રમણકારો માટે એમની ફરજમાં ગણાતું. ક્રીશ્ચિયાનીટી અને મુસ્લિમ ધર્મપરિવર્તનમાં માને છે. હિંદુ ધર્મ ધર્મપરિવર્તનમાં માનતો નથી. જૈન અને શીખ પણ ધર્મપરિવર્તનમાં માનતા નથી. ધર્મપરિવર્તન મોટાભાગે પરાણે જ થતું હોય છે. ધર્મ તમારા અનકોન્શીયસમાં સમાયેલો હોય છે. એટલે તલવારની ધાર નીચે એને મજબૂરીમાં બદલવો પડતો હોય છે. અથવા કોઈ લોભ કે લાલચ કામ કરી જતી હોય તેવું પણ બને. હિંદુ ધર્મની સખત વર્ણવ્યવસ્થાને લઈને નીચલાં વર્ગનું ખૂબ શોષણ થયું હોય છે અને ધર્મ બદલવા મજબૂર થઈ જવું પડ્યું હોય છે. આક્રમણકારી મુસ્લિમો માટે સમજાવટ કે શિક્ષણ આપવાનો સમય નહોતો, એમને માટે તલવારની ધાર જ ધર્મ પરિવર્તન કરાવવા માટે સીધો ટૂંકો ટચ રસ્તો હતો.

 

એક વહોરાજી મને બરોડામાં હતો ત્યારે મળેલા. એમની વાતમાં અતિશયોક્તિ જરૂર હશે. એમના કહેવા પ્રમાણે વહોરા બધાં બ્રાહ્મણો હતા. કોઈ મુલ્લાંજી પરદેશથી આવ્યા, બધાને સમજાવ્યા અને હિંદુ બ્રાહ્મણોએ ધર્મ બદલ્યો તે દિવસે જે જનોઈઓ ઉતારેલી તેનું વજન હજાર મણ થયેલું. હજાર મણ વજન જનોઈનું થાય તે માટે કેટલાં બ્રાહ્મણોએ જનોઈ ઉતારી હશે? મને મનમાં હસવું આવતું હતું કે સમજાવટથી બ્રાહ્મણો માન્યા હશે? કે માથાં ઉપર તલવારની ધાર દેખાતી હશે? હું છોડું ખરો? મેં સામો સવાલ પણ કરેલો પણ વહોરાજી કહે ના રે ના કોઈ બળજબરી નહોતી. મેં એવા લગ્નો જોયા છે જ્યાં હિંદુ અને મુસ્લિમ બંને વિધિઓ થતી હોય. ગણેશ પણ બેસાડે અને નિકાહ પણ પઢે. ધર્મ તમારા સબ કોન્શિયસમાં સમાઈ જતો હોય છે જે તમે વટલાવ તો પણ સદીઓ સુધી ક્યારેક નીકળતો નથી. માટે જ હિંદુ, જૈન, શીખ ધર્મપરિવર્તનમાં માનતા નથી. મંદિરો તો ઘણાં બધા તોડાયા હતા પણ એકનું એક મંદિર વારંવાર તોડાયું હોય તેવું સોમનાથ એકલું જ છે. અને વારંવાર તોડાયું હોય અને બંધાયું હોય તે મંદિર માટે સમસ્ત હિન્દુઓને વિશેષ પ્રેમ હોય તે પણ સ્વાભાવિક જ છે ને? હાલનું સોમનાથ મંદિર સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. પુરુષ અને સ્ત્રીના જનન અવયવોને સર્જનનાં પ્રતીક તરીકે મૂકેલા શિવલિંગને જોઈ સેક્સનું બહુમાન કરનારા પ્રાચીન ભારતીય મનીષીઓની બુદ્ધિ અને કલ્પનાશક્તિને નમન કરવા હાથ જોડાઈ જાય તેમાં શું નવાઈ?

ભૂપેન્દ્રસિંહ રાઓલ

E-mail – brsinh@live.com

ફોન +1 732 406 6937

Scranton, PA, USA.

 

 

6 thoughts on “સોમનાથ મંદિર સૌથી વધુ વખત તોડાયેલું”

  1. Mahitisabhar lekh.Hinu Muslim vaimnashya angrejo pahelathi chalyu aave chhe,e mahiti vishesh dhyanakarshak rahi.Eno arth etlo j ke angrejo ane tyar pachhina banne shashako Congress ane BJP e ebalatama ghee homvana kam j karya chhe.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s