વિષાક્ત વ્યક્તિઓ

 

સુખ વહેંચો દુખ નહિ (વિષાક્ત વ્યક્તિઓ)

હું એક કંપનીમાં જોબ કરતો હતો. ત્યાં એક સહ કર્મચારી હતા જે મારી સાથે કામ કરતા હતા. અમારી જોબ રાતના સાત વાગ્યાથી શરુ થતી તે સવારે સાત વાગે પૂરી થતી. સાંજે લગભગ પોણા સાતે અમે બધા હાજર થઈ જતાં અને અમારા સુપરવાઈઝર કોને કયા મશીન પર કે કયું કામ કરવાનું છે તે ફાળવી દેતાં. અમારા આ મિત્ર સાંજે સાત વાગ્યાથી જ ફરિયાદ કરવાનું શરુ કરી દેતા. એમને એકેય મશીન કે એકેય કામ કદી સારું લાગતું જ નહિ. કામ કરવામાં પણ ચોરી અને ફરિયાદ આખી રાત કરતા. અમારે એકવાર જમવાનો બ્રેક મળતો અને એકવાર કોફી બ્રેક મળતો. પિસ્તાલીસ પિસ્તાલીસ બંને બ્રેકમાં પાંચ વર્ષમાં એક પણ બ્રેક એવો નહિ ગયો હોય કે એમણે કોઈને કોઈ વિષે ફરિયાદ ના કરી હોય. એમની ફરિયાદોના વિષયો અને વ્યક્તિઓ વિવિધ રહેતાં. વેધર હોય, દેશ હોય, વ્યક્તિઓ હોય, એમના મિત્રો હોય કે સગા સંબંધીઓ હોય કે ખુદ એમની પત્ની કે બાળકો હોય દરેક વિષે એમને ફરિયાદ જ હોય. એમના બાળકો, પત્ની કે ભાઈઓ વિષે ફરિયાદ એવી કરુણતાથી કરે કે તમે સાંભળનાર એમના દુઃખે દુઃખી થઈ જાઓ. આપણે પોતે એમના દુખડા સાંભળી ઉદાસીની ગર્તામાં ફેંકાઈ જઈએ કે જલદી એમાંથી બહાર પણ આવી ના શકીએ.

દરેકને આવા વિષાક્ત વ્યક્તિઓનો, વર્કપ્લેસ કે પોતાના સમાજમાં કે સગા સંબંધીઓમાં અનુભવ હશે જ. નકારાત્મકતા ક્યારેક જરૂરી હોય છે પણ સતત આવા નેગેટીવ વ્યક્તિઓ આપણું જીવવું હરામ કરી નાખે તે આપણને સમજ પણ પડે નહિ. હું હમણાં બે મહિના ભારતમાં રહ્યો. એક સંબંધી નિયમિત સવારે ઘેર આવે એમના દીકરા અને વહુ વિષે ફરિયાદ કરી એને ગાળો દઈ બે કલાક બેસી પછી જાય. જાય ત્યારે એમના મુખ પર કોઈ ઉદાસી હોય નહિ, આનંદિત લાગે. આપણે દુઃખી થઈ જઈએ કે કેટલાં દુઃખ આ લોકો વેઠી રહ્યા છે? બીજા એક સંબંધી આવે તેમનું પણ એવું, તેમની પત્ની આગળ એમનું ચાલે નહિ. પત્ની માબાપ જોડે સંબંધ રાખવા દે નહિ. એમાં મોટો વાંક એમનાં અણઘડ માબાપનો વધુ હતો. આ ભાઈ પણ જ્યારે આવે ત્યારે આંસુડા વહાવે. આપણે દુઃખી થઈ જઈએ પણ તે ભાઈ થોડીવાર પછી એકદમ ખુશખુશાલ હોય. હું અને મારા ભાઈ પ્રદીપસિંહ બંને હ્યુમન બિહેવ્યર વિષે સારો એવો અભ્યાસ કરવામાં રસ ધરાવીએ. મેં તો ઇવલૂશનરી સાયકોલોજી પર એક પુસ્તક પણ લખ્યું છે. આ લોકોના ગયા પછી મારા ભાઈ કહે ભાઈ દુઃખી ના થઈ જતા આ લોકો ટોક્સિક પીપલ છે. એમના તમામ(sorrow-સોરો) દુઃખ, હતાશાઓ, ઉદાસીનતા, નકારાત્મક લાગણીઓ બધું આપણે માથે નાખી જુઓ કેવા ખુશ થઈને ચાલ્યા જાય છે?

ટોક્સિક લોકોની એક ખૂબી એ હોય છે કે તેઓ આપણને અપસેટ કરી પોતે ખુશખુશાલ થઈ ચાલ્યા જતા હોય છે. આવા વિષાક્ત લોકો હમેશાં ફરિયાદ જ કરતાં હોય છે. પોતાને એટલા બધા દુઃખી બતાવે કે એમને હર્ષાન્વિત કરવામાં આપણી તમામ શક્તિ વપરાઈ જાય. ટૂંકમાં એમને રાહત આપવામાં આપણે પોતે દુઃખી જઈએ. મેજર ડીપ્રેશન અને બાયપોલર ડીસઓર્ડર જેવી માનસિક બીમારી ધરાવતા લોકો આવા ટોક્સિક હોવાની સંભાવના વધુ હોય છે. પોતાના દુખડા વધુ પડતા ગાનારથી ચેતતા રહેવું.

એક તો કાયમ ફરિયાદ કરતા, એમની સાથે તમામ ખોટું થઈ રહ્યું છે તેવું કહેતા, અને તમને છોડીને જતી વખતે આનંદિત જણાતા હોય તેવા વ્યક્તિઓ આસપાસ હોય તો સમજી લેવું ટોક્સિક પીપલ છે. આમ તો તમે ઓળખી જાઓ તો એમનાથી દૂર થઈ જાઓ પણ આવા લોકો તમારી સાથે જ કામ કરતા હોય કે કોઈ સગા સંબંધી જ હોય તો એમનાથી દૂર થવું મૂશ્કેલ તો ઠીક નામુમકીન છે. દાખલા તરીકે અંગત મિત્ર કે પત્ની કે પતિ કે ભાઈ બહેન જ આવી ટોક્સિક હોય તો? શક્ય હોય તો એમની માનસિક સારવાર કરાવો અથવા તમે પોતે જ ટ્રેઈન થઈ જાવ કે તેમની વાતો ઇગ્નોર કરો.

તમે બીજાની વર્તણુક બદલી ના શકો, પણ તમારી તો બદલી શકો. તમે આવા વિષાક્ત લોકોને સુધારી ના શકો તો પોતે જ એમના પ્રત્યે સુધરી જાઓ તે બહેતર છે.

ભારતમાં દુઃખનું બહુ મહત્વ છે. કુંતીએ દુખ માંગેલું કારણ દુખમાં પ્રભુ સાંભરે. દુખમાં કોણ યાદ આવે? પ્રભુને યાદ કરવા, વારંવાર યાદ કરો માટે દુખ માંગેલું? મતલબ તો સ્વાર્થ જ થયો ને? સુખમાં પ્રભુ યાદ આવતો નથી એટલાં કમજોર ને સ્વાર્થી છીએ? સુખ-દુખ બાબતે મારું મંતવ્ય જરા જુદું છે. દુઃખમાં તો સહુ ભગવાનનું સ્મરણ કરે, એમાંથી છૂટવા માટે એક સ્વાર્થ છે, પણ સુખમાં પ્રભુને સ્મરે તેને વીરલો કહેવાય. બીજું એ કે સુખ વહેંચવાથી વધે છે. એમ દુઃખ પણ વહેંચવાથી વધે. નિયમ તો સરખો જ હોય ને? એકમાં એક વત્તા એક બે થાય તો બીજામાં એક વત્તા એક શૂન્ય કઈ રીતે થાય? લોકો ખોટું સમજે છે કે દુઃખ વહેંચવાથી ઘટે. એક દુઃખી માણસ એનું દુઃખ બીજાને કહે કે વહેંચે તો પેલો પણ દુઃખી થવાનો. પોતે તો દુઃખી છે જ, બીજાને પણ એનું દુઃખ વહેંચીને દુઃખી કરવાનો. તમે સુખી થયા કે આનંદિત થયા તો એ આનંદ કે સુખ વહેંચો તો બીજા પણ તમારા આનંદમાં ભાગીદાર થઈને સુખી થવાના. માટે સુખ વહેંચો અને દુઃખ પોતે એકલાં જ વેઠી લેવું સારું. સુખમાં ભાગીદાર શોધો, દુઃખમાં નહિ. આપણા દુઃખે બીજાને દુઃખી શું કામ કરવા? માટે હું ક્યારેય મારા દુખડા કોઈની આગળ શેઅર કરતો નથી. મારા દુઃખોથી બીજાને શું મતલબ? એ તેના ગાવા માંડશે. તમારી સુખની ક્ષણો વહેચો દુખની નહિ.

સુખ વહેંચો તો તમારી સાથે બીજા પણ આનંદિત થશે. પણ દુઃખ વહેચશો તો તમને રાહત થઈ જશે પણ સામેવાળો નાહક દુઃખી થઈ જશે. દુખ વહેંચી રાહત મેળવી સામેવાળાને દુઃખી કરશો તો તમે ટોક્સિક પીપલ છો યાદ રાખજો. તકલીફમાં મદદ મેળવવા કોઈને કહેવું અને દુખમાં રાહત મેળવવા તેના ગીતો ગાવા તે અલગ વસ્તુ છે.

3 thoughts on “વિષાક્ત વ્યક્તિઓ”

  1. bhupendra sinhji. as per my experience. people will be talk their complainer against their behaviour or what complaints for them. on face to face against complain so powerful solution will be come out ,rather to talk other people. also they have to change (complain talk to other) their habit for present time young people want.

    Like

  2. વેદોના દર 4-5 શ્લોકમાં સુખ, ધન, ઐશ્વર્ય, સ્વાસ્થ્યની જ માંગણી ઋષિઓએ કરી છે!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s