હે! ‘ભગ’વાન

હે! ‘ભગ’વાન

ऐश्वर्यस्य समग्रस्य धर्मस्य यशसः श्रियः|

ज्ञान वैराग्योश्चैव षण्णां भग इतिङ्ग्ना||

સંપૂર્ણ ઐશ્વર્ય, ધર્મ, યશ, જ્ઞાન તથા વૈરાગ્ય– આ છનું નામ ‘ભગ’ કહેવાય; આ છ જેમાં હોય તેને ‘ભગવાન’ કહેવાય. ઉપરનો શ્લોક વિષ્ણુ પુરાણનો છે.

એક તો સંપૂર્ણ ઐશ્વર્યવાન હોય. મતલબ પુષ્કળ રીસોર્સીસ હોય. ખૂબ સંપત્તિ હોય કોઈ કમી ના હોય. ઐશ્વર્ય શબ્દ ઉપરથી જ ઈશ્વર શબ્દ આવ્યો છે. મતલબ ભગવાન ગરીબ ના હોય. ધર્મ એટલે જે ફરજ પૂરી રીતે બજાવતો હોય. યશ એટલે આબરુવાન હોય. આબરૂ સારી ક્યારે હોય? સારો સ્વભાવ અને લોકોને મદદગાર થતો હોય ત્યારે યશ પ્રાપ્ત થાય. જ્ઞાની હોય. આટલું બધું હોય છતાં અભિમાન કે આસક્તિ ના  હોય તેને ભગવાન કહેવાય.

ઓશો કહેતા કે ‘ભગ’એટલે યોની, જે યોની દ્વારા જગતમાં પ્રવેશ મેળવતા હોય તે બધા ભગવાન. મતલબ બધા મેમલીયન પ્રાણીઓ ભગવાન? ઈંડા દ્વારા જન્મ લેતા પ્રાણીઓએ શું ગુનો કર્યો? ઉપરનો શ્લોક વિષ્ણુ પુરાણનો છે. મતલબ ભગવાનની આ માનવીય વ્યાખ્યા છે. આપણે શું ભગવાનને અદ્રશ્ય તો નથી બનાવી દીધો ને? આપણને જે શક્તિ સમજાતી નથી તેને ભગવાન માનીએ છીએ. જે નિયમો કુદરતના સમજાતા નથી તેને ભગવાન માનીને ડરતા રહીએ છીએ. ડરમાંથી ભગવાન પેદા કરીએ છીએ. અજ્ઞાત ભવિષ્યનો ડર આપણને ખૂબ સતાવતો હોય છે. સર્વાઈવ થવા માટે અજ્ઞાત ભવિષ્ય હંમેશા ચિંતાતુર કરતું હોય છે. એટલાં માટે કોઈ અદ્રશ્ય શક્તિ હંમેશા સહાય કરે તેવી અભ્યર્થના રાખતા હોઈએ છીએ.

દોરડાને સાપ સમજી કૂદી જવું તે ફોલ્સ પોજીટીવ એરર છે. એવી ભૂલ વારંવાર થાય તો ચાલે પણ સાપને દોરડું સમજી પકડી લેવાની ભૂલ ફોલ્સ નેગેટિવ એરર કરવાની ભૂલ એકવાર કરી તો ગયા જીવથી. નિર્જીવ દોરડાને જીવંત સાપ સમજી લેવાની વૃત્તિ અને માનસિકતાએ ભગવાનને જન્મ આપ્યો છે. એટલે જે લોકો વધારે પડતા જ્ઞાની છે, દોરડામાં દોરડું અને સાપમાં સાપ દેખાય તેવા સક્ષમ એવા અતિજ્ઞાની પુરુષોએ જ નિર્ભયતાનાં વચનો આપ્યા છે. અભય શીખવવા મહેનત કરી છે. પણ આવા અતિ સક્ષમ પુરુષો કેટલા? બસ તો માનવ સહજ ડરનો ઉપયોગ કરી ફોલ્સ પોજીટીવ એરર કરતા સામાન્ય જનમાનસને ડરાવી વધારે ને વધારે ડરાવી કેટલાં આળસુ ઠગ એમનો વગર મહેનતનો ધંધો ચલાવે રાખે તેનું નામ  કહેવાતો ભારતીય સાધુ સમાજ, જીવતા પ્રગટ બ્રહ્મો, દાદાઓ, બાપુઓ, સંતો મહારાજ્શ્રીઓ, બાવાશ્રીઓ અને મહંતો.

કૃષ્ણ કદાચ ઉપરની માનવીય વ્યાખ્યામાં આવરી લેવાય તેવા ભગવાન હતા. પણ આપણે એમને અદ્રશ્ય ભગવાન બનાવી ચમત્કારની મદદની આશા રાખીએ છીએ હજુ પણ. હવે જે એક ભૂતકાળ બની ગયા છે. એટલે સામાન્ય જન ભગવાનને માનતો રહેવાનો તે સ્વાભાવિક છે અને ઠગોનો ધંધો ચાલતો રહેવાનો તે પણ એટલુજ સ્વાભાવિક છે. એટલે જે ઐશ્વર્યવાન હોય, સંપત્તિવાન હોય જે બીજાને મદદ કરી સર્વાઈવ થવામાં સાથ આપતો હોય તેને લોકો સ્વાભાવિક ભગવાન સમજી લેતા હોય છે. માટે આ દેશમાં રાજાઓને ભગવાન માનવાનું સહજ હતું. કારણ રાજાઓ પ્રજા માટે તકલીફમાં ભગવાન જેવા હતા. પ્રાચીન સમયમાં રાજા પ્રજા માટે બધું હતી. પ્રજાના સુખ દુખ રાજાના સુખ દુખ હતા. કૃષ્ણ આવા જ એક રાજા હતા. રામ પણ આવાજ એક રાજા હતા. રામ જુઓ દ્વંદ્વથી ભરેલા હતા. માનવીય ગુણોથી પણ ભરેલા હતા. એક બાજુ શબરીના બોર ખાધા અને બીજી બાજુ બ્રાહ્મણોના કહેવાથી શૂદ્ર શમ્બુકને મારી નાખ્યો. એક બાજુ પત્નીને પારાવાર પ્રેમ કરતા હતા અને ધોબીના કહેવાથી ત્યાગ કરી નાખ્યો. રામને બહુ પ્રચલિત અને ભગવાન બનાવી દેવામાં પિતાશ્રીઓનો બહુ મોટો હાથ છે. જેથી સંતાનો ઉપર મનમાંની કરી શકાય. રામને ભગવાન બનાવી દેવામાં પતિદેવોનો પણ બહુ મોટો હાથ છે જેથી પત્નીઓ ઉપર મનમાંની કરી શકાય.

ચીનમાં પણ રાજાઓ પવિત્ર અને ભગવાન ગણાતા હતા. હજુ આજે પણ જુઓને બ્રિટન હજુ પણ રાજવંશને ક્યાં છોડે છે? લગભગ દરેક જગ્યાએ રાજાઓ કે લીડર્સ ભગવાન જેવા ગણાતા હોય છે. કારણ ફોલ્સ પોજીટીવ એરર કરતા રહેનારી, દોરડાને સાપ સમજતા રહેનારી સામાન્ય પ્રજા માટે આવા નેતાઓ, રાજાઓ અને હવે ગુરુઓ ભગવાન હોય છે. જે એમને સધિયારો આપતા હોય છે. એટલે જ્યારે કેટલાં મહાપુરુષો જેઓ રજ્જુને રજ્જુ અને સાપને સાપ તરીકે ઓળખી લેવામાં સક્ષમ થઈ જતા હોય છે તેઓ ભગવાનનો ઇનકાર કરી દેતા હોય છે. તેઓને ફોલ્સ પોજીટીવ એરર કરવાની હવે જરૂર રહી નથી. હવે તેઓને ડરવાનું કોઈ કારણ નથી. જેઓ અભયના વરદાન પામી ચૂક્યા છે તેવા કોઈ બુદ્ધ અને મહાવીર ઈશ્વરને નકારી કાઢતા હોય છે. કોઈ ઉપનિષદના ઋષિને ખબર છે આ મનોવિજ્ઞાન, તેઓ અભયની વાતો કરતા હોય છે. એવા કોઈ રાજા શ્રી કૃષ્ણ જેવા જાતે જ કહી દેતા હોય છે કે હું જ ભગવાન છું.

જાતે પોતાને ભગવાન કહી દેવું એના જેવો બીજો કયો મોટો ઈશ્વરનો ઇનકાર હોય? અહમ્ બ્રહ્માસ્મિ કહેનારા બીજા તમામ ભગવાનોનો ઇનકાર કરી દેતા હોય છે. મહાવીર આત્મા એજ પરમાત્મા કહેતા.

ભગવાન એ કમજોર ભક્તોના ભેજાની કાલ્પનિક પેદાશ છે મક્કમ મનવાળા યોગીઓની નહિ. યોગમાં તો પોતાના અહંકારને એટલો ઊંચે લઈ જતા હોય છે અને એક કક્ષાએ પોતાને જ બ્રહ્મ જાહેર કરી દેતા હોય છે. એટલે જે પ્રજા કમજોર અને નિર્બળ હોય તેને ભગવાનની જરૂર વધારે પડવાની. જુઓ ભારત જેટલા ભગવાનો બીજે ક્યાંય છે ખરા? એકાદ ભગવાન સહુ રાખતા હોય છે બાકી પોતાના બળ ઉપર મુસ્તાક. જેમ જેમ પ્રજા કમજોર પડતી જાય છે તેમ તેમ ભગવાનોની સંખ્યા વધતી જતી હોય છે. લેભાગુઓ જાતે ભગવાન બની બેસતા હોય છે અને કમજોર લોક એમને ભગવાન માની પણ લેતી હોય છે. વિચારો ભારતમાં પણ જે કોમ પ્રમાણમાં સ્વભાવથી ડરપોક છે તેમના ગુરુઓ તેમનું ખૂબ શોષણ કરતા હોય છે તેમની સ્ત્રીઓનું પણ જાતીય શોષણ વધારે થતું હોય છે ગુરુઓ દ્વારા. અને જે કોમો જરા આક્રમક છે તેમનું શોષણ એમના ગુરુઓ દ્વારા ઓછું થતું હોય છે, એમાં પણ એમની સ્ત્રીઓનું જાતીય શોષણ કરવાની હિંમત ગુરુ પણ ના કરે. વ્રજવાસીઓ અહીં ગુજરાત આવે છે શોષણ કરવા. અને એવી કોમને પકડે છે જે સ્વભાવથીજ ડરપોક છે. આ ડરપોકો એમની સ્ત્રીઓ પણ ધરી દેતા હોય છે.

સૌથી વધુ સંતો અને ભક્તો મોગલોના સમયમાં થયા. આર્તનાદો કરતા હે ભગવાન હવે બચાવો. લડવાની તાકાત ગુમાવી બેઠેલી પ્રજા બીજું કરે પણ શું? પણ ભગવાન કોઈ વ્યક્તિ તો છે નહિ તે આવે અને બચાવે. પછી સ્વાભાવિક શું થવાનું? એક ભગવાન તો આવતા નથી તો બીજાને બોલાવો. બીજો આવતો નથી તો ત્રીજાને બોલાવો. એમ ભગવાનો બદલાયે જવાના. સમયે સમયે ભગવાન બદલાઈ જતા હોય છે. એકની આસ્થા બીજા ઉપર ઢાળી દેવાતી હોય છે. રામ નથી આવતા તો કૃષ્ણને બોલાવો. પછી નવા ફૂટી નીકળેલા ભગવાનને બોલાવો. સંતોષી માતા હવે નથી આવતા તો હવે દશામાને બોલાવો. ૨૫ કે ૩૦ વર્ષ પહેલા અમેરિકા આવેલાને દશામાં કોણ છે,ખબર નથી. ગણપતિ કાયમ હાજર જ છે. પહેલા ખાલી મહારાષ્ટ્રમાં જ ગણપતિનાં જાહેર ઉત્સવ થતા અને ગુજરાતમાં વડોદરામાં. હવે બધે થવા લાગ્યા છે. પહેલા રથયાત્રા અમદાવાદમાં જ નીકળતી હવે ઘણી બધી જગ્યા નીકળે છે.

હનુમાનજીના સરઘસ એમની જયંતી વખતે ક્યારેય જોયા નહોતા હવે તે પણ શરુ થઈ ગયું. પ્રજા જેમ જેમ કમજોર પડતી જાય છે તેમ તેમ બધું વધતું જવાનું. હવે દરેકની આસ્થા સાંઈબાબા ઉપર ઢળી ગઈ છે. પહેલા સાઈબાબાને આટલું બધું કોઈ પૂછતું નહોતું. એક મુસ્લિમ ફકીર એમને તો મંદિર હોય કે મસ્જિદ જ્યાં જગ્યા મળી ત્યાં રહી પડ્યા. તે સમયના હિંદુ સંતો એમને માનતા પણ નહોતા. હિન્દુઓનો દંભ જુઓ સાંઈબાબા માંસ ખાતા હતા તે એક વિવાદ છે જ, આજે માંસાહાર વિરુદ્ધ જીવ કાઢી નાખનારા દમ્ભીઓની આસ્થા સાંઈબાબા બની ચૂક્યા છે. એક વકીલ મિત્ર જેસલમેર ગયા હતા. ત્યાં જૈન મંદિરમાં વિદેશી લોકોને પ્રવેશ નથી. કેમ કે વિદેશીઓ માંસાહારી હોય છે, જૈનોનો દંભ જુઓ પાલીતાણામાં માંસાહારી દલાઈ લામાને બોલાવેલા. ધીમે ધીમે સાઈબાબાનું પુર ઓસરતા જવાનું છે તે નક્કી છે, એમની જગ્યા બીજો કોઈ ભગવાન લેશે. માનસિકતા તો એની જે રહેવાની ને?

જેમ જેમ ઉંમર વધતી જાય તેમ માનવ કમજોર પડતો જતો હોય છે તેમ તેમ એને ભગવાનની જરૂર વધારે પડતી જતી હોય છે. યુવાનીમાં ભગવાન બહુ જામતો નથી. જે પ્રજાના યુવાનો ભગવાનમાં બહુ માનતા થઈ જાય અને ટીલા ટપકાં કરી ફરતા થઈ જાય તો સમજવું યુવાનોમાં બહુ દમ રહ્યો નથી. યુવાની મરવા પડી છે. યુવાની કમજોર પડી ગઈ છે. તે દેશનું ભવિષ્ય ધૂંધળું રહેવાનું. આવા યુવાનો કોઈ ક્રાંતિ કરી શકે નહિ. મેં વર્ષોથી લેખકોને વાંચ્યા છે, જે લેખકો યુવાનીમાં દમદાર લખતા કોઈની સાડીબાર ના રાખતા હવે એમનામાં બાપુઓનો આત્મા પ્રવેશતો જતો હોય છે. વૃદ્ધોને ભગવાન વધારે દેખાવાનો. કારણ હવે બીજું કરવા જેવું પણ બચ્યું નથી. નિર્બળ બની ચૂક્યા હોય છે, શારીરિક તાકાત પણ ઓછી થઈ ગઈ હોય છે. તો પછી બોલાવો ભગવાનને.

ભ્રષ્ટાચારથી ત્રસ્ત પ્રજાને જુઓ અણ્ણા હજારેમાં કેવો ભગવાન દેખાઈ ગયો? આજે અણ્ણા હજારે પાસે બહુ મોટો ચાન્સ છે ભગવાન બની જવાનો. ચીન અને ભારત સૌથી જૂની સંસ્કૃતિઓ. બંનેની માનસિકતા લગભગ એક જેવી. બંને સાવ આળસુ પ્રજા ધરાવતા દેશો. ચીન તો સાવ અફીણી કહેવાતું. બંને માટે રાજાઓ ભગવાન, બંને માટે વસ્તી વધારો મોટો જીવલેણ પ્રશ્ન. પણ ચીનમાં માઓ આવ્યા. રીલીજન ઈઝ પોઈઝનનું સૂત્ર આપ્યું. ઊંઘતી પ્રજાને બેઠી કરી દીધી. ભલે એમનો સામ્યવાદ સફળ ના થયો પણ પ્રજાની બદલાયેલી માનસિકતા અને ખંખેરી નાખેલી આળસ આજે એની પ્રગતિનું કારણ બની ગઈ છે. આટલી બધી વસ્તી છતાં જુઓ એની પ્રગતિથી અમેરિકાને પણ મહાત કરી રહ્યું છે. જ્યારે ભારતમાં હંમેશા વૃદ્ધ નેતાગીરી જ આવે છે જે ભગવાનની આશા રાખતી રહેવાની.

એક તો ભગવાન ખૂબ સંપત્તિવાન હોવો જોઈએ, જેથી બીજાને મદદ કરી શકે. વૈરાગ્યની ભાવનાવાળો હોવો જોઈએ જેથી મદદ કરતા હિસાબ ના ગણે. પછી યશ તો એને મળવાનો જ છે. ખાસ તો ભગવાન માનવ હોય તે જરૂરનું છે. કારણ કાલ્પનિક ભગવાન કોઈ રીયલ મદદ કરવાનો નથી. અને આવો કોઈ ભગવાન ના મળે તો જાતે જ ભગવાન બની બેસો ને? અહમ્ બ્રહ્માસ્મિ. ભગવાન કદી કોઈનું શોષણ કરે ખરો??

4 thoughts on “હે! ‘ભગ’વાન”

  1. “સંપૂર્ણ ઐશ્વર્ય, ધર્મ, યશ, જ્ઞાન તથા વૈરાગ્ય– આ છનું નામ ‘ભગ’ કહેવાય.”
    આમાં તો પાંચ જ થયા, છઠ્ઠું શું?

    એકંદરે ઘણો સારો લેખ છે.

    2017-11-06 7:51 GMT-05:00 કુરુક્ષેત્ર :

    > Bhupendrasinh Raol posted: “હે! ‘ભગ’વાન ऐश्वर्यस्य समग्रस्य धर्मस्य यशसः
    > श्रियः| ज्ञान वैराग्योश्चैव षण्णां भग इतिङ्ग्ना|| સંપૂર્ણ ઐશ્વર્ય, ધર્મ,
    > યશ, જ્ઞાન તથા વૈરાગ્ય– આ છનું નામ ‘ભગ’ કહેવાય; આ છ જેમાં હોય તેને ‘ભગવાન’
    > કહેવાય. ઉપરનો શ્લોક વિષ્ણુ પુરાણનો છે. એક તો સંપૂર્ણ ઐશ્વર્”
    >

    Like

  2. BHUPENDRA BHAI , POSTED VERY EXCELLENT TIMELEY ARTICLES AT CURRENT SITUATION OF THE WORLD.ALSO FOR MERA BHARAT MAHAN. AND SPECIALLY FOR WHOLE WORLD YOUNGSTER GENERATION. WHEN YOUNG GENERATION READ ,CHANGE THEIR MIND , ALL GREAT THINGS DONE BY BHUPENDRASINH RAOL. <ANIL

    Like

  3. ઠગોનો ધંધો ચાલતો રહેવાનો તે પણ એટલુજ સ્વાભાવિક છે.
    અને ‘ભગવાન’ની પરિકલ્પના પાછળ Escapism જ છે. એક એવો આધાર કે જે ખુદ નિરધાર છે. માણસ જન્મે ત્યારથી એને એક આધારની જરૂર રહે છે. માના ગર્ભથી જ એની શરૂઆત થાય. અને જ્યારે એ ધીમે ધીમે મોટો થાય, બાળક બને ત્યારે મા-બાપનો આધાર હોય.. વધુ મોટો થાય ત્યારે એ આધાર છૂટવા લાગે ત્યારે કોઈ આધારની જરૂર પડે અને એ આધાર એટલે ભગવાન..

    Like

  4. વાહ વાહ ખુબ જ સરસ લેખ છે અભિનંદન …
    એકદમ વાસ્તવિક

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s