આપણે કોઈ સંપ્રદાયમાં જોડાઈએ એટલે તેના વડા આપણને કંઠી પહેરાવતા હોય છે. કંઠી તુલસીના મણકાની માળા હોય છે. કંઠીની જગ્યાએ બીજું કશું પણ સિમ્બૉલિક હોઈ શકે. વૈષ્ણવ સંપ્રદાય અપનાવો એટલે એકદમ ઝીણા તુલસીના મણકાની માળા ગાળામાં પહેરી રાખવાની હોય છે. દરેક સંપ્રદાયના આવા સિમ્બૉલિક ચિન્હો અલગ અલગ હોય શકે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કપાળમાં લાલ રંગનો ચીપિયો વચમાં પીળું બિંદુ હોય છે. જોઇને સમજી જવાય કે ભાઈલો સ્વામિનારાયણ સંપ્રદાયનો ભગત છે. સામે મળે એટલે સિમ્બૉલિક જય સ્વામિનારાયણ બોલે અથવા જયશ્રી કૃષ્ણ કે જય શ્રીનાથજી બોલે. જૈન હોય તો જય જિનેન્દ્ર બોલે. મને યાદ છે વિજાપુરમાં વૈષ્ણવ સંપ્રદાયના ચેલા બનાવે ત્યારે ગરમ ગરમ લોખંડની એક વિશિષ્ટ મુદ્રા ખભા ઉપર ચાંપી દેતા. થોડા દિવસ પાકે, ફોલ્લા થાય પણ પેલી મુદ્રા કાયમ માટે છપાઈ જાય. કે ભાઈ તમે અમારા વાડામાં ઘેટું બની પુરાઈ ગયા. હવે તમારે કશું વિચારવાનું નહિ, અમે કહીએ તેમ કરવાનું. તમારી આ લોક અને પરલોકની જવાબદારી હવે અમારી. સારું થાય તો ભરવાડ ડચકારો બોલાવે કે મારા પુણ્યપ્રતાપે જીવો છો અને કશું ગરબડ થાય તો કરમ ભોગવવા પડે એવો તકિયાકલામ ઇક્સક્યુઝ સાંભળી લેવાની તૈયારી રાખવાની.
ઓશો કહેતા કે કંઠી પહેરનાર અને ટાઈ પહેરનારમાં કોઈ તાત્વિક ભેદ છે નહિ. ઓશો હોશિયાર તર્કશાસ્ત્રી હતા. પણ યુરોપિયન ટાઈ કેમ પહેરતા હશે? ટાઈ કોઈ ધાર્મિક સંપ્રદાયનું પ્રતીક નથી. ટાઈ પહેરવાનું કારણ આબોહવાને લાગતું છે. યુરોપમાં ઠંડી ખૂબ પડે છે. ઉત્તર અમેરિકામાં પણ પુષ્કળ ઠંડી પડે છે. ભારતમાં હાલ ગરમી હશે અહીં ઉષ્ણતામાન અત્યારથી ૯-૧૦ ડિગ્રી થવા માંડ્યું છે. જાન્યુઆરી-ડિસેમ્બરમાં તો દિવસે શૂન્ય અને રાત્રે માઈનસમાં ઊતરી જાય. ઘરમાંથી સામે બારણે પાર્ક કરેલી ગાડીમાં બેસવા જવું હોય તો પણ જૅકેટ, ગરમ કોટ વગેરે પહેર્યા વગર જવાય નહિ. કાર પણ પાંચદશ મિનિટ પહેલા ચાલુ કરી ગરમ કરવી પડે. ઠંડી જ્યાં જગ્યા મળે ત્યાંથી ઘૂસી જાય. અમે શિયાળો શરુ થતા બારીઓ પેટીપૅક હોય છતાં એની નાં દેખાતી તિરાડમાંથી ઠંડી ઘરમાં ઘૂસી નાં જાય માટે ટેપ લગાવતા હોઈએ છીએ. નહિતો ઘરનું ઉષ્ણતામાન જળવાય નહિ અને સેન્ટ્રલ હીટર આખો દિવસ ચાલુ જ રહે તો યુટીલીટી બીલ વધારે આવે. અમારા જ્યોતીન્દ્રકાકા તો કમરથી નીચેના ભાગમાં જ પાંચ કપડા પહેરે છે, પેન્ટ એ શ્રેણીમાં સૌથી ઉપર હોય. નીચે આટલાં બધાં પહેરતા હોય તો ઉપર કેટલા પહેરતા હશે? શર્ટનાં કોલરમાંથી ઠંડી અંદર ઘૂસી નાં જાય માટે તેને ટાઈ પહેરી જડબેસલાક બંધ કરવાની જરૂરિયાત હોય છે. શર્ટ ઉપર સ્વેટર, એની ઉપર કોટ અને એની ઉપર લાંબો ગરમ કોટ પહેરવો પડતો હોય ત્યાં ટાઈ કઈ રીતે અંધશ્રદ્ધાનું પ્રતીક બને?
ભારતની ગરમીમાં પાશ્ચાત્ય પોશાક અર્થહીન છે. ખરા ઉનાળામાં ટાઈ અને સ્યૂટ પહેરવા આંધળું અનુકરણ છે પણ તેમાં કોઈ અંધશ્રદ્ધા મને દેખાતી નથી. પણ હવે ધોતિયા પહેરીને કોઈ ઑફિસમાં જતું નથી. દક્ષિણ ભારતમાં લુંગી શું કામ પહેરતા હશે? અતિશય ગરમી લુંગી પહેરવા પ્રેરતી હોય છે. યુરોપિયન પહેલા આવ્યા ત્યારે જુના વખતમાં બ્રિચીસ પહેરતા. બ્રિચીસ એવા પેન્ટ હતા જે નીચેથી એકદમ ટાઈટ અને કમરના ભાગમાં ખુલ્લા. કાઠિયાવાડમાં ચોયણા પહેરે છે તેવું પણ કપડું જાડું હોય. આજના પેન્ટ હવે આખી દુનિયામાં પ્રચલિત થઈ ગયા છે. પહેરવેશમાં પણ ઇવલૂશન થતું જ હોય છે. કંઠીની જેમ ટાઈ કોઈ સંપ્રદાયનું પ્રતીક છે નહિ.
ઓશો પોતે એમના સંન્યાસીઓને બહુ લાંબી માળા પહેરાવતા અને વચમાં પેન્ડલ હોય એમાં એમનો ફોટો રહેતો સાથે મરુન કલરના કપડા ફરજિયાત હતા. શરૂમાં તેમના ચેલાઓ ઓરેન્જ કલરના કપડા પહેરતા પછી કલર મરુન થઈ ગયો. પણ એક વાત હતી કે તેમના સંન્યાસીઓ સંસારમાં આરામથી રહી શકતા, ભગવા પેન્ટ શર્ટ અને લાંબી માળા લટકાવીને તમામ સાંસારિક જવાબદારીઓ નિભાવતા. સંસારમાં રહીને સંન્યાસ સ્વીકારવાનો એક નવો કૉન્સેપ્ટ એમણે આપેલો. ‘ભાગો મત જાગો’ એમનું મુખ્ય સૂત્ર હતું. પણ ઓશો લોકોની ભાવનાઓને રમાડવાની ગજબ આવડત ધરાવતા હતા. છેવટે તો એમણે એમના સંન્યાસીઓને માળા અને ભગવા ફગાવી દેવાનો આદેશ આપેલો પણ ચેલાઓ એમ છોડે કાઈ? આજે એમના અમુક ચેલાઓ પોતેજ ઓશો બની ચૂક્યા છે. ઓશોની નકલ કરવામાં કોઈ અક્કલ વાપરતા નથી. ઓશોની જેમ મોટા મોટા રોબ પહેરતા હોય છે. એ રોબની બાયો એટલી મોટી હોય કે એક બાયમાંથી કોઈ પાતળી છોકરીનો પંજાબી ડ્રેસ બની જાય.
પાશ્ચાત્ય સંસ્કૃતિને ગાળ દેવાની એક ભારતીય ફૅશન છે. કારણ એના સિવાય આપણી પાસે બીજું કશું બચ્યું નથી. બટનથી માંડી મહાકાય ટાઈટેનિક પશ્ચિમે બનાવ્યા છે. આપણે માયથોલોજી કહો કે સાયન્સ ફિક્શન કહો રામ પુષ્પક વિમાનમાં ઊડતા હતા એવું ગાયે રાખ્યું ને રાઇટ બ્રધર્સે પુષ્પક બનાવી નાખ્યું. આપણે અગ્ન્યાસ્ત્રનું સાયન્સ ફિક્શન ગાયે રાખ્યુંને પશ્ચિમે મિસાઇલ બનાવી નાખ્યા. આપણે બ્રહ્માસ્ત્રનું ફિક્શન ગાયે રાખ્યું ને અમેરિકાએ જાપાન પણ ઝીંકી દીધું. છેક સતયુગ અને દ્વાપર યુગથી વાતો કરે જ રાખતા હતા ત્યારે માંડ કળિયુગમાં કલામે અગ્ન્યાસ્ત્રમાં પગભર કર્યા, થેન્ક્સ ટુ ઇન્દિરા ગાંધી અને થેન્ક્સ ટુ ડૉ અબ્દુલ કલામ, થેન્ક્સ ટુ નામીઅનામી હજારો વૈજ્ઞાનિકો જેમણે ભારતને અગ્ન્યસ્ત્ર પ્રોજેક્ટમાં પગભર કરવા રાતદિવસ સંશોધન કરે રાખ્યું, એમાં મારા મોટાભાઈ ડૉ જે.આર. રાઓલ પણ આવી જાય.
પાશ્ચાત્ય સંસ્કૃતિને સતત ભાંડે રાખતા RSS જેવા સંઘનાં યુનિફૉર્મમાં જે ખાખી ચડ્ડી છે તે પણ પાશ્ચાત્ય સંસ્કૃતિની જ દેન છે, અને બટન વગર ચડ્ડી હોય ખરી? રામ-કૃષ્ણ ક્યાં ખાખી ચડ્ડી પહેરતા હતા? બજરંગ દળનાં તાલીબાની માનસિકતા ધરાવતા કાર્યકરો ધોતિયા પહેરી પેલી છોકરીઓના જિન્સપેન્ટ ખેંચવા નહોતા ગયા, પાશ્ચાત્ય પેન્ટ પહેરીને જ ગયેલા. સાડી સુદ્ધાં પાશ્ચાત્ય છે તે મુરખોને ખબર નથી, ચંદ્રગુપ્તની ગ્રીક રાણી હેલને સાડી શોધેલી તેવું કહેવાય છે.
બીજી એક મસ્ત હસવું આવે ફૅશન કૉમન થઈ ગઈ છે. જો કોઈ બુદ્ધિગમ્ય વાત કરે તો બુદ્ધિજીવી કહીને ગાળો દેવાની એક સરસ ફૅશન ભારતમાં ચાલે છે. જાણે મૂર્ખા હોવામાં કોઈ મેડલ મેળવવા જેવી બાબત હશે. જો તમે તર્ક કરો તો ગાળના અર્થમાં કહેશે બુદ્ધિજીવી છે. માણસ બુદ્ધિનો ઉપયોગ કરે તો સારું કે ખોટું? તર્ક કરવો સારો કે ખોટો? મુરખોને ખબર નથી કે ભારતના ષડ્દર્શન તર્ક આધારિત હતા. હવે ષડ્દર્શન એટલે શું તે આ મહાન આસ્તીકોને ખબર નહિ હોય. એક જ વૈદિક સંસ્કૃતિમાં છ છ અલગ ફિલોસોફી, બધી તર્કશાસ્ત્ર આધારિત. બધી વેદમાન્ય. છતાં વેદથી અલગ એવી ચાર્વાર્કની વિચારધારા પાછી અલગ.. સૌથી મોટા તર્કશાસ્ત્રી કોણ હતા?
બુદ્ધિનો ઉપયોગ કરનારને ગાળો દેનારા મૂરખો જાણી લો કે સૌથી મોટા તર્કશાસ્ત્રી હતા આદિ શંકરાચાર્ય… તે જમાનાના સૌથી મોટા તર્કશાસ્ત્રી મંડનમિશ્રને વાદવિવાદમાં શંકરે હરાવેલા. આજે પોતાના બૈરામાં બુદ્ધિ હોવા છતાં ચુપ બેસ તને સમજ નાં પડે તેવું કહેનારા ચમ્પુઓને ખબર નહિ હોય મંડનમિશ્રનાં વિદુષી શ્રીમતીને કન્વિન્સ કરવામાં શંકરાચાર્યને ફાંફાં પડી ગયેલા. આ વાદવિવાદ જગતની મહાન ડિબેટ હશે જેનો ટેક્નોલૉજીના તે સમયના કુદરતી અભાવે આજે આપણી પાસે કોઈ રેકૉર્ડ નથી. શંકરાચાર્ય ૩૨ વર્ષે તો પ્લૅનેટ અર્થ છોડી વિદાય થઈ ગયેલા. આ વાદવિવાદ સમયે કેટલી ઉંમર હશે તેમની? મંડનમિશ્રે શંકરાચાર્યને એવું નહોતું કહ્યું કે તને નાના છોકરાને શું સમજ પડે? કે તને વાંઢાને શું ગમ પડે? તે મારા જેટલી દિવાળીઓ નથી જોઈ કે તું કુંવારો છે એટલે ‘ગે’ જ હોઈશ તને શું ખબર હોય? કે વડીલો આગળ દલીલ કરાય નહિ કે વડીલ કહે એટલે માની જ લેવાનું.. કે તું પરણેલો નથી તે તને કામશાસ્ત્રની શું ખબર હોય? કે તને કુંવારાને પ્રેમ વિષે શું ખબર હોય? મંડનમિશ્રનાં શ્રીમતીએ કામશાસ્ત્ર વિષે સવાલો પૂછેલા તે બધાના ઉત્તર કુંવારા બ્રહ્મચારી શંકરે આપેલા જ. એવું પણ નહોતું કહ્યું કે તું મુલ્લા વિષે કેમ બોલતો નથી કે મુસ્લિમ ધર્મ વિષે બોલ તો તને સમજ પડી જાય, કે ત્યા તો ફાટી જાય છે કે માથા કપાઈ જાય. બુદ્ધિના સાગરો સવાલ પૂછે તે પહેલા જણાવી દઉં કે શંકરાચાર્ય ભારતમાં વિચારતા હતા ત્યારે કેરાલામાં પહેલી મસ્જિદ બંધાઈ ચૂકી હતી.
નાં કોઈ ગાળાગાળી નાં કોઈ અંગત આક્ષેપો અને હાર્યા પછી એક નાના છોકરા આગળ હારવામાં ગૌરવ અનુભવી ગળે લગાવી મંડનમિશ્રએ શંકરાચાર્યને આશીર્વાદ આપેલા. ડીબેટનાં આ બે મહારથીઓના દેશમાં આજે ડિબેટ કલ્ચર જ નાશ પામી ગયું છે. આસ્થા, શ્રદ્ધા અને ભક્તિના નામે શાસ્ત્રાર્થની વિદ્યાને કાયમી વિદાય આપી દેવાઈ છે.
પોશાકમાં ઉત્ક્રાંતિ થયા જ કરતી હોય છે. આજે અંગ્રેજો પણ વિક્ટોરિયન યુગના કપડાં પહેરતા નથી.
કંઠી …….તિલક ………એ બધું બ્રાન્ડીંગ છે …ધાર્મિક બીસનેસ નું બ્રાન્ડીંગ
ઓશો એ પણ આ માર્કેટિંગ નો લાભ ઉઠાવ્યો
LikeLike
અમારે અહી શાળાઓ ,માં ફરજીયાત ટાઈ હોય છે
અને અમુક શાળાઓ માં કોટ પણ ફરજીયાત છે
આ લોકો ને “મૂરખ બુદ્ધિજીવી ” શ્રેણી માં મૂકી શકાય ?
આટલી ગરમી માં ટાઈ માટે એક પણ તર્ક હોઈ શકે ખરો ?
LikeLike
કંઠી એટલા માટે પહેરવામાં આવે છે, કે એના ખરબચડા મનકા તમને હમેશા અનુભવાય અને કોઈ ખરાબ કામ (સ્વામીનારાયણ સંપ્રદાય ના નિયમ પ્રમાણે જ સ્તો 🙂 ) તમે કરવા જાઓ, તો તમને એ કંઠી ના સ્પર્શ થી ના કરવા માટેનો સંદેશ મળે
ગમે તે, logic તો ખોટું નથી.
LikeLike
Jo Evu Hoy To Khota Kaam Karata Samaye Kanthi Kadhi Naakhe!!!! Dharma Pan Na Nade Ane Kaam thayi Jaay……
LikeLike
ભારતના સમાજે પાશ્ચાત્ય રીતભાતનું આંધળું અનુકરણ કર્યું છે અને હજુ પણ કરે છે. આપણી પ્રજાએ બુદ્દિનો ઉપયોગ કરીને સ્વીકારવાનું બંધ કરી દિધું છે. આપણાં ધર્મ કે સંસ્કૃતિની સારી વાતો જાળવી રાખીને અન્ય સમાજની સારી રીતભાતો સ્વીકારતા શીખવું જોઈએ.
કંઠી આજે ભલે સંપ્રદાયનો ‘Tag’ થઈ ગયો હોય પણ કંઠી કે જનોઈ કે તિલક કરવાનું એક તાર્કિક કારણ પણ છે.
LikeLike
“ડીબેટનાં આ બે મહારથીઓના દેશમાં આજે ડિબેટ કલ્ચર જ નાશ પામી ગયું છે.” — દેશ માટે આ સૌથી દુઃખદ ઘટના છે. સત્યવચન.
અને હવે ‘ટાઈ’ (થોડી પૂરક માહિતીઓ) =
સતરમી સદીમાં (સને: ૧૬૧૮) ક્રોએશિયન સૈનિકોએ લગભગ હાલના સ્વરૂપની ટાઈ પહેરવાનું નોંધાયું છે. જે ‘ક્રૅવેટ (/krəˈvæt/)’ નામે ઓળખાવાય છે. જેનો શબ્દકોશે અર્થ છે; પહોળો કાપડનો બંધ જે પુરુષો દ્વારા ગળામાં બંધાય છે અને તેના લાંબા છેડા આગળ તરફ લટકતા રહે છે.
મૂળ આ શબ્દ સર્બોક્રોટ ભાષાના Hr̀vāt પરથી આવ્યો જેનો અર્થ છે; મર્દ. જો કે પ્રથમ તે શબ્દ ફ્રેન્ચભાષામાં cravate (ક્રાવાત, kʁa.vat) તરીકે ગયો જેનો અર્થ ગલપટ્ટો થાય છે અને ત્યાંથી અંગ્રેજીમાં આવ્યો. જે આજની નેક ટાઈ કે બો ટાઈનો સમાનાર્થી ગણાય છે. (સં:વિક્શનરી)
૧૮૧૫નાં વોટરલૂના યુદ્ધ પછી આ શબ્દ ક્રૅવેટ પૂર્ણપણે ટાઈમાં રૂપાતરીત થયો. આમ, ઇતિહાસનું અવલોકન કરતા જણાય છે કે આ પરિધાન (એટલે કે ટાઈ !) મૂળભુત રીતે સૈનિકના યુનિફોર્મના ભાગરૂપ હતું. જે પછીથી ફેશન સ્ટેટમેન્ટ થયુ. એ સમયે ટાઈ (જે આજ કરતાં થોડી અલગ, ગળા આસપાસ વધુ કપડું અને આંટા રહેતા) ખાસ તો તલવાર કે બૅયોનેટની તિક્ષણ ધારથી ગળાની નસને બચાવવા હેતુ પહેરાતી હોવાનું જણાય છે. જો કે આ એક હેતુ જણાવ્યો, સમયે સમયે આવા અનેક હેતુઓ માટે ટાઈ બંધાતી. (જેમ કે, હાલ ઠંડીથી રક્ષણાર્થે). આ આખી મેટરમાં આપણું કન્ટ્રીબ્યુશન પણ જોવું હોય તો એક શબ્દ મળશે, ‘બંધણા’; જે મૂળ તમિલ ‘પન્થમ’ પરથી ઉતર્યાનું કહેવાય છે. (તે પરથી ‘બાંધવું’, ‘બાંધણી’ જેવા શબ્દો આવ્યા હશે !). આ પણ એકરીતે ટાઈનો ભાઈ છે ! ગળામાં એક યા બીજા સ્વરૂપે કોઈ વધારાનો કાપડનો કટકો બાંધવાનું દરેક સમાજમાં જોવા મળ્યું છે. (‘ફટકો’ શબ્દ સાંભળ્યો છે ? જૂની દેવાનંદની ફિલ્મો જોઈ હશે તેને આવા ‘ફટકા’ જાણીતા લાગશે !)
આ માત્ર દિશાનિર્દેશ કર્યો. રસ પડે તે વધુ માહિતી શોધી શકે છે. મૂળ વાત પર આવું તો, ભુપેન્દ્રસિંહજીના લેખનો કેન્દ્રિય વિચાર, ટાઈ અને કંઠીની અસરખામણી, સચોટ છે. સાવ સાચું કહ્યું છે, બંન્ને વચ્ચે કોઈ સરખામણી નથી. એકનો ઉપયોગીતાની દૃષ્ટિએ વિકાસ થયો છે તો બીજાનો ધાર્મિક. પાશ્ચાત્ય લોકો ટાઈ બાંધે છે એમ અમે કંઠી બાંધીએ છીએ એમ કહેવું એ અજ્ઞાનતા છે. જો કે, ઇતિહાસમાં ટાઈ અને ધર્મનો નાતો ઘણી જગ્યાએ જોડાયેલો જણાય છે ખરો. જેમ કંઠીનો તેમ ટાઈનો પણ ઘેટાં બનાવવામાં ઉપયોગ થયો જ છે. પણ ટાઈનો એ એકમાત્ર ઉપયોગ નથી થયો એટલો ફર્ક છે !!
ટાઈનો વિરોધ પણ પૂર્વ સંસ્કૃતિમાત્રએ કર્યો હોય એવું નથી. પશ્ચિમના દેશોમાં, ‘૬૦ના દશકામાં અને પછી ‘૯૦નાં દશકામાં, ખાસ તો કમ્પ્યુટર, નેટ વગેરેની ટૅકનો કંપનીઓ સહિત ઘણાંએ ટાઈને ‘બિનજરૂરી’ ગણાવી છે. (માઈક્રોસોફ્ટ અને ગુગલ પણ એમાં સામેલ છે). બાપુએ યોગ્ય જ લખ્યું કે, ‘પોશાકમાં ઉત્ક્રાંતિ થયા જ કરતી હોય છે. આજે અંગ્રેજો પણ વિક્ટોરિયન યુગના કપડાં પહેરતા નથી.’ આમ એકંદરે ટાઈ યુદ્ધઉપયોગી પહેરવેશ હતી તો કંઠી ??!!…જવા દો, એની સરખામણી હોય જ નહિ. સૂપર્બ લેખ.
(તા.ક.-અગાઉ અહીં કુરુક્ષેત્રે જ કે અન્યત્ર ક્યાંક બહુ સુંદર શબ્દ વપરાયાનું યાદ આવ્યું; “કંઠલંગોટ !” — સંપૂર્ણ સ્વદેશી શબ્દ !)
LikeLike
સર વાઘજી મજા આવી ગઈ. ટાઈ વિષે ઘણું બધું સંશોધન.. ફેસબુક મિત્રોને પણ લાભ આપી દઉં છું.
LikeLike
ફેશનની દુનિયામાં ટાઈનું એક અલગ જ મહત્વ જોવા મળે છે. આજકાલ અનેક કંપનીઓના ડ્રેસકોડમાં ટાઈનું ચલણ વઘતું જતું હોય તેવું જોવા મળે છે. ટાઈ પહેરવાના કારણે ફક્ત પર્સનાલિટીની આર્કષકતા વઘે છે તેવું નથી. તેના કારણે વ્યક્તિનો લૂક પણ સારો લાગે છે. આજકાલ તો અનેક સ્કૂલમાં પણ ડ્રેસની સાથે ટાઈને પણ કમ્પલસરી બનાવી દેવામાં આવી છે. અહીં એવી કેટલીક ટાઈના પ્રકારો રજૂ કરવામાં આવ્યા છે જેના કારણે તમારો લૂક અને પર્સનાલિટી બંનેમાં વઘારો થઈ શકે છે.
એક રમુજી ગીતની પંક્તી છે-
તમે સૂટ ઉપર ટાઈ માંગી વરરાજા
તમે આટલી શી હઠ છોડો ને
કાવ્યમાં ટાઈ
હું
શાંત ચિત્તે
મારાં અસબાબને ઉતારું છું
ડ્રોઈંગરૂમના એક ખૂણામાં.
ટાઈની ગાંઠ છોડું છું.
સામે ગૂમ થયેલી બાંયવાળું
લાંબું પહેરણ લટકે છે.
કૂલડી આકારનું ફ્લાવરવાઝ
એક ખૂણામાં પ્લાસ્ટિકનાં ફૂલો સાથે
સખ્ય રચાયાના ભાવ સાથે વિલસે..
સાવરણીનો સ્પર્શ,
શુભ્ર ધૂમ્ર હવાના હલેસાથી ધક્કેલે છે ને…
સેલ્સ્બોયમાં ફેરવાતો હું
ઓટોમેટિક ક્લીનર સેલ કરું છું સાફ કરેલી રજ સાથે.
કામ્પ્યૂટરની સ્વીચ ઓન કરું છું,
ઇકત વણાટ માં કઈ મુખ્ય ટેક્નીક ટાઈ એન્ડ ડાઈ નો ઉપયોગ થાય છે?
મેચ તો થઈ ટાઈ…જાણીતી વાત
અમારા એક સ્નેહી ટાઇ નું ભાષાંતર કંઠલંગોટ કરતા
ભારતના ગામડાઓમા પણ શહેરની વિમેન હવે પ્રત્યેક ક્ષેત્રે પુરુષોના પેંગડામાં પગ ઘાલવા લાગી છે તો ફેશન તેમાંથી બાકાત શી રીતે રહે? અલબત્ત, શર્ટ, ટી-શર્ટ, જીન્સ કે ટ્રાઉઝર જેવા એક સમયમાં માત્ર પુરુષોનો પહેરવેશ ગણાતા વસ્ત્રો તો મહિલાઓ ઘણાં વર્ષથી પહેરે છે. પણ આધુનિકાઓ હવે પુરુષોની જેમ નેકટાઈ પણ પહેરવા લાગી છે. તે પણ માત્ર શર્ટ-ટ્રાઉઝર સાથે નહીં, બલ્કે સ્કર્ટ અને ગાઉન સાથે પણ.
રમુજ…
અજયના પપ્પાના ગળામાં ટાઈ બાંધેલી જોઈ તો તેમણે પૂછ્યુ કે – પપ્પા શું છે ?
તેના પપ્પાએ હસીને જવાબ ટાળી દીધો. અજય બોલ્યો – પપ્પા, હું સમજી ગયો.
મમ્મીએ નાક લૂંછવા માટે ગળામાં કપડું બાંધી દીધુ છે.
બાળકોની માનીતી રમત
ટાઈ ટાઇ ફિશ
LikeLike
માતાશ્રી આપની રમુજભરી કોમેન્ટ્સ વાંચી બહુ મજા આવી ગઈ. આપના નામ સાથે ફેસબુકમાં મૂકી દઉં છું.
LikeLike
સમય અને સ્થળ થી નિરપેક્ષપણે ઘેંટા સર્વવ્યાપી હોય છે જ .. હંસ પણ લઘુમતીમાં હોવાછતાં વ્યાપક છે .. મૌલિકતાના માલિક બનીને સહજ જીવવામાં ધન્યતા હોય છે .
LikeLike
વાહ !!! વાહ !!!!!!
તુલસી, લાલ ચીપીયો, કંઠી, ટાઈ, લુંગી, ધોતીયા, ચોયણા, મહાકાય ટાઈટેનીક, જાપાન ઉપર અમેરીકન અણુહુમલો.
છેવટે ચાર્વાક અને શંકરાચાર્ય. ડીબેટનાં મહારથીઓના દેશમાં આજે ડીબેટ કલ્ચર જ નાશ પામી ગયું છે.
LikeLike
bhupendrabhai oso vise mane mahiti nathi mate hu boli saku nahi. pan tame je dress cod vise kayu te ganu saru che. bhartma pahela dress code hato. apne tena kapda uprathi olakhi sakta. bhartiy posak vatavarn anusar hato temj (economical ) arthik rite pan sasto hato.. darji ni jarurt nathi padti. mara vichr mujab stri mate sindur e vivahitanu temj pati jivit che teni jan mate che.
LikeLike
………
મને તો આમાં બિલકુલ નાં સમજાયું !!!! …
‘કંઠી’ Vs ‘ટાઈ’ …. કોઈ મુકાબલો-જ નથી …
કંઠીથી એ ઘેટા-બકરાના ગળાનો પટ્ટો કહેવાય …
જ્યારે ‘ટાઈ’? એ વફાદાર કૂતરાનાં ગળાનો પટ્ટો …
…. ખેર …. આ શંકરાચાર્ય હોય કે એરીસ્ટોટલ હોય … પાશ્ચયાત સંસકૃતિ કે ભારતીય સંસ્કૃતિનાં ભૂતકાળથી અત્યાર સુધીના ઉદાહરણમાં -“બીજાની વિધ્વતાની સ્વીકૃતિ કાયમ-જ કડવી રહ્યી છે અથવાતો વિદ્વાનોને શિરચ્છેદનાં ઇનામો-થી નવાજાયા છે” … અને આજની તારીખ કે વર્તમાનમાં હિંદુ-ધર્મની માંન્યતાઓ કે ધર્મ-ગ્રંથના ચીંથરા ઉડાડવા સરળ છે … કારણકે હિંદુ તે ધર્મ-ઝનૂની નથી … તે રીતે ‘ઇસ્લામ’ ની સામાન્ય તાર્કિક-ટીકા પણ તમારો શિર-છેદ કાયમ કરી શકે છે … અને ક્રીશ્ચનીઝમ તમને શું સજા આપે છે તે તમારા પરિવારને પણ ખબર ‘નાં’ પડે તે રીતે તમે ગુમ થઇ ગુમનામ થઇ જાઓ તો કઈ કહેવાય નહિ ….
ખેર .. છોડો ઇસ્લામ અને ક્રીશ્ચનીઝમ … આપણે તો આપણું આંગણું સાફ રાખવું … હિંદુ-ધર્મ વૈચારિક-તાર્કિક પ્રગતિ કરે તેમાં ભારતીય સમાજને-જ ફાયદો છે …
……..
# આ તસલીમા-નસરીન અને સલમાન રૂશ્દીને માથે કેટલા રૂપિયાનાં ઇનામ છે? …
હવે હિંદુ-ધર્મના ઠેકેદારો ક્યારે Bhupendrasinh નાં માથે ઇનામ જાહેર કરશે? …
…….. કદાચ ક્યારેય નહિ? …. એવા કોણ પૈસા વેડફે? … જેને જે બોલવું હોય તે બોલે અને ગઝની 17-વખત સોમનાથ તોડવું હોય તોયે તોડે … કોણ શું લઇ જશે કે દઈ જશે? આપણી શ્રધ્ધા તે કોણ તોડી-ચોરી શકાશે?… હેં ભાઈ? …
LikeLike
વાહ ! કટાક્ષ સારો છે !! પણ હિંદુઓએ તો કેટકેટલાંઓના માથા પર ઈનામ કાઢવા ? અને એ પછી ભુપેન્દ્રસિંહજીનો વારો તો વળી છે…ક ક્યારે આવે ?!
વાંચો, બે-એક નમૂના;
* “આત્મનો ગુરુરાત્મેવ પુરુષસ્ય વિશેષત:” (શ્રીમદ ભા. – ૧૧|૭|૨૦)–મનુષ્ય પોતે જ પોતાનો ગુરુ છે.
* “ગુરુ સંબંધી વધુ પડતી વાતોનો પ્રચાર તેવા લોકોએ કર્યો છે, જેમને ગુરુ બનવાનો શોખ છે.” (સ્વામી રામસુખદાસજી)
* “જેનું વિદ્યાદિ સદ્ગુણોમાં ગુરુત્વ નથી, જે જૂઠ-મૂઠ કંઠી તિલક વેદવિરુદ્ધ મન્ત્રોપદેશ કરનારા છે, તે ગુરુ જ નથી, કિન્તુ ગડરિયા એટલે ભરવાડ જેવા છે. જેમ ભરવાડ પોતાના ઘેટાં, બકરાઓથી દૂધ આદિનું પ્રયોજન સિદ્ધ કરે છે, તેમ આ શિષ્યોનું, ચેલા-ચેલીઓનું, ધન હરીને પોતાનું પ્રયોજન સિદ્ધ કરે છે. (સત્યાર્થ પ્રકાશ-સ્વામી દયાનંદ)
* “મારા યુવકમિત્રો ! સુદ્દઢ બનો; મારી તમને એ સલાહ છે. ગીતાના અભ્યાસ કરતાં ફૂટબોલ રમવાથી સ્વર્ગની વધુ નજીક જશો. આ શબ્દો આકરા છે, પણ મારે તમને સંભળાવવા પડે છે, કારણ કે હું તમને ચાહું છું.” (સ્વામી વિવેકાનંદ)
આ તો માત્ર ઉદાહરણ છે, એ સમજવા માટે કે શબ્દો પાછળનો ભાવ જોવાનો છે. આવા કડવા, અરે આથી હજારો ગણા કડવા શબ્દો સ્વામી દયાનંદ, અખો, નરસિંહ મહેતા, કબીર અને કંઈ કેટલાં હિંદુ મહર્ષિઓએ કાઢ્યા છે. આનો હિંદુઓ ગર્વ પણ લઈ શકે. જાતને જેવીને તેવી આયનામાં જોવી એ સૌથી કઠિન વાત છે !! હિંદુઓ એ કરતા જ આવ્યા છે. (કદાચ કેટલાંક હવે નથી કરી શકતા !) અને આ જ પ્રક્રિયા છે, હજારો વર્ષ થયે ટકી રહેવાની.
LikeLike
“પાશ્ચાત્ય સંસ્કૃતિને ગાળ દેવાની એક ભારતીય ફૅશન છે.” –
ઓશોએ ક્યાંક કહ્યું છે – ‘જગત પડઘા સમાન છે”
વિજ્ઞાનનો પણ નિયમ છે – આઘાત અને પ્રત્યાઘાત સમાન અને સામસામા હોય છે.
ભારતીય વૈદિક સંસ્કૃતિમાં ‘ક્ષત્રિયો’ ને સંસ્કૃતિના ‘રક્ષક’ કહ્યા છે.
LikeLike
આદત પડી ગઈ છે આપણને ભારતીયોને પશ્ચિમિ સંસ્કૃતિ નું આંધળું અનુકરણ કરવાનું….
કોઈપણ જાત ના કારણો વિચાર્યા વગર તે લોકો જે ફેંકી દે તે ઉપાડી લેવાની .
કારણો ક્યારેય જોવા કે તપાસવાની આપણે તસ્દી લેતા જ નથી….
હજી પણ આટલા મોટા દેશ મા બધી જ સરકારી ઓંફીસો નો સમય ૧૦ થી ૫ જ છે ને….
.
.
કારણ…..?
ક્યારેય વિચાર્યું જ નહિ……
ત્યાં તો સવારે ૧૦ વાગ્યે મંદ ઘર ની બહાર નીકળી શકાય તેવું વાતાવરણ થાય માટે બધી સરકારી ઓંફીસો ૧૦ વાગે ખુલે તે વ્યાજબી છે……
અને સાંજે ૫ પછી વાતાવરણ મા ફરી પાછું અંધારું થઇ જાય……..
.
અંગ્રેજો ને તે સમય ફાવી ગયો તો માટે તેમણે તે સમય ભારત મા લાગુ પડ્યો…..
અને હવે ……..
સાપ ગયા ને લીસોટા રહ્યા………!
LikeLike
હવે રામચરિતમાનસ એટલું યાદ નથી પણ જો હું સાચો હોઉં તો તુલસીકૃત રામાયણમાં કળિયુગના લક્ષણોમાં એક લક્ષણ વિવિધ સંપ્રદાયોની વિપુલતા અને હુસાતુસી પણ જણાવ્યું છે. તુલસીને હિંદુ ધર્મમાં પવિત્ર માનવામાં આવી છે અને વિજ્ઞાનના હિસાબે પણ તુલસીમાં ઔષધીય ગુણો ધરાવતા હોવાથી ગળામાં તુલસીની માળા પહેરતા હશે પણ પછી માળા સાથે સંપ્રદાયના બીજા પરિબળો પણ જોડાતા ગયા અને દરેક સંપ્રદાયે જુદી જુદી માળાઓને પ્રાથમિકતા આપી હશે.
હવે તો દરેક જુદા જુદા સંપ્રદાયમાં જુદા ટીલા અને તેમની પ્રચલિત માળાઓ એક ઓળખ બની ગયી છે. પોતાના ટીલા વાળો વ્યક્તિ મળે એટલે ભરતમિલાપ થઇ જાય. અમુક લોકો પોતાની કાર પર પણ પોતાના સંપ્રદાયના ટીલાનું સ્ટીકર લગાવે છે. શ્રી રામ પણ ચંદનનું તિલક કરતા હતા. ચંદન મગજ ઠંડુ રાખે છે એવું કહેવાય છે પણ વાહન પર તિલકના સ્ટીકર લગાવવાનો શું મતલબ ?
યુરોપમાં ઠંડીનો પ્રકોપ વધારે હોય છે એવું અમેરિકા અને કેનેડામાં પણ છે. મોટાભાગે યુરોપિયન પ્રજા જ અમેરિકા અને કેનેડા પર પ્રભાવશાળી છે એટલે તેમનો યુરોપિયન પોષાક ત્યાં ફેલાઈ ગયો. યુરોપમાં ઠંડીથી બચવા માટે ગળામાં ઊનનું મફલર લપેટતા અને કામ કરતા સમયે મફલર નીકળી ના જાય એટલા માટે ટાઈની જેમ બંધાતા હતા. ત્યાનો ઉમરાવ વર્ગ આસ્કોટ ટાઈ પહેરતો હતો. યોદ્ધા વર્ગ અને ઉમરાવ વર્ગ યુદ્ધમાં ગળાના રક્ષણ માટે લોખંડની પટ્ટીથી બનેલો એક કોલર ગાળામાં પહેરતા હતા એને ઢાંકવા માટે કદાચ આસ્કોટ ટાઈ પહેરતા હશે. જેમ અત્યારે અમુક નેતાઓ બુલેટ પ્રૂફ જેકેટને ઢાંકવા માટે શાલ ઓઢી રાખે છે. પછી આસ્કોટ ટાઈ ભદ્ર વર્ગની ઓળખ બની ગયી. એમાંથી જ આજની ટાઈ જન્મી વિકસી હશે, જે ઊનના બદલે બીજા કાપડમાંથી અને ઘણી ડીઝાઇનમાં મળે છે.
પહેરવેશ જ નહિ પરંતુ ખોરાક, રહેઠાણોની બનાવટ, સંસ્કૃતિ, રાજકારણ, ગુનાહિત પ્રવૃત્તિઓ પર પણ ભૌગોલિક પરિબળોની બહુ મોટી અસર પડતી હોય છે.
ચંબલ નદીના કોતરો એટલા વિશાળ અને એટલા અટપટા છે કે ત્યાં ગુનો કરીને ગુનેગારો સંતાઈ શકે છે એટલે ત્યાં આટલા બધા ડાકુઓ થયા છે. એ માટેના બીજા પરિબળો પણ જવાબદાર છે પણ એક કારણ તેમાં ભૌગોલિક પણ છે.
યુરોપમાં ઢંડીથી બચવા માટે કપડાની ઉપર ઓવરકોટ પહેરવામાં આવતો. દરેક ઘરના પ્રવેશદ્વાર પર ઓવરકોટ ટીંગાડવા માટે સ્ટેન્ડ રહેતું, જેથી ઘરના સભ્યો ઉપરાંત ઘરે આવનારા મહેમાનો પણ પોતાના ઓવરકોટ ટીંગાડી શકે. કાશ્મીરમાં પણ ઠંડી વધારે પડે છે એટલે ત્યાં પણ પોતાના પોષકના ઉપર સ્ત્રીપુરુષો ઓવરકોટ જેવું ઊનનું વસ્ત્ર પહેરે છે. શેરલોક હોમ્સની નકલ કરવાના ઉત્સાહમાં અમુક વખતે ભારતીય જાસુસી સીરીયલ કે મુવીમાં પણ જાસુસને ઓવરકોટ પહેરેલો બતાવાય છે.
બ્રિચીસ એવું પહેરણ છે જેમાં શારીરિક ચપળતાના કામ કરવા માટે સાનુકુળતા રહે. યુદ્ધ, ઘોડેસવારી, તલવારબાજી કે શિકાર માટે તે ખાસ પહેરવામાં આવતું. ભારતીય રાજાશાહીમાં પણ આવા જ પોષક રહેતા જે કમરના ભાગથી ખુલતા રહેતા અને ઘુટણથી નીચે ચુસ્ત રહેતા. આજે બ્રિચીસ ભારતીય સમાજમાં ફેસનનું પહેરણ બન્યું છે જે વાસ્તવમાં તો મોટાભાગે યુદ્ધ માટે ઉપયોગી હતું. ભારતીય સ્વાફો કાપડની આંટી દઈને બાંધવામાં આવતો જેથી તલવારનો વાર થાય તો નબળો બની જાય અને માથું કપાઈ ના જાય.
અમારા એક શિક્ષક કહેતા કે ભારતના ગામડાઓમાં કોઈ બરમુડો પહેરીને નીકળે તો લોકોને હસવું આવશે પરંતુ હકીકતમાં તો બરમુડો ગ્રામીણ લોકોને વધુ ઉપયોગી છે. લેંઘા અને ધોતિયામાં ગામમાં ખેતરોમાં પાણી વાળવા કરતા બરમુડામાં ખેતરમાં કામ કરવું વધુ અનુકુળ રહે.
કોઈ હકારે કે નકારે પણ પાશ્ચાત્ય શોધોનું આપણા જીવનમાં મહત્વ નકારી ના શકાય. આજે કોમ્પ્યુટર પર જ્યોતિષો કુંડળી બનાવે છે તે પણ પશ્ચિમની શોધ જ છે. ગમે તે દેશમાં કોઈપણ વૈજ્ઞાનિક શોધ લોકજીવનને સરળ બનાવવા માટે અને લોકહિત માટે જ થઇ હોય છે. આજે પશ્ચિમ સામે લડવા માટે પણ તાલીબાનો હથિયાર તો પશ્ચિમી દેશો દ્વારા શોધાયેલા જ વાપરે છે. તેમને પશ્ચિમની સુગ આ બાબતમાં નથી નડતી. તેમનો વિરોધ પણ સગવડીયો જ છે.
ભારતમાં પરંપરાગત ષડદર્શનમાં સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા, વેદાંત છે. નાસ્તિક દર્શનમાં ચાર્વાક અને અજીત કેશકમલીનના ભૌતિક દર્શન ઉભા થયા અને બૌદ્ધ જૈન જેવા અવૈદિદર્શન દર્શન પણ છે. આ બધા દર્શન તર્ક પર આધારિત છે. એક માત્ર વૈદિક દર્શનોની વાત કરીએ તો પણ તેમાં છ શાખાઓ છે. બધી તર્ક પર આધારિત છે. તેમની શાસ્ત્રાર્થની પરંપરા હતી. ગુરુ શિષ્ય સાથે અને શિષ્યો પરસ્પર શાસ્ત્રાર્થ કરતા હતા.
બીજાનું દર્શન સમજવા માટે બીજી પરમ્પરાના વિદ્વાનો સાથે પણ શાસ્ત્રાર્થ થતો. અહી તર્ક આધારિત જ વાત થતી કોઈને નીચું દેખાડવાનો હેતુ નહિ. દ્રેતવાદીઓ અને અદ્રેતવાદીઓ વચ્ચે આજે પણ મતભેદો છે પણ તેઓ એકબીજાને ઉતારી નથી પાડતા.
શંકરાચાર્ય દેશભરમાં ભ્રમણ કરીને પોતાના દર્શન અને વિચારોને ફેલાવી રહ્યા હતા. બીજા દર્શનના વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ પણ કરતા. આજ સંદર્ભમાં તેમણે ત્યારના મહાન વિદ્વાન મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થ કર્યો. શાસ્ત્રાર્થના મધ્યસ્થી (જજ) તરીકે મંડન મિશ્રની પત્ની વિદુષી ઉભય ભારતીને નક્કી કરવામાં આવ્યા. અહી ઉભય ભારતીની વિદ્વતા અને તટસ્થતા બંનેને નમસ્કાર કરવા પડે.
ઘણા દિવસો સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો અને શાસ્ત્રાર્થના અંતે ઉભય ભારતીએ શંકરાચાર્યને વિજેતા જાહેર કર્યા. જોકે ઉભય ભારતીએ કહ્યું સન્યાસી તમે મારા પતિને હરાવ્યા છે પણ હું તેમની અર્ધાંગીની હોવાથી તેમનું અરધું અંગ છું, હજુ તમારી જીત પૂર્ણ ના કહેવાય. મને શાસ્ત્રાર્થમાં હરાવો તો તમે શાસ્ત્રાર્થમાં પૂર્ણ રીતે વિજેતા કહેવાઓ. આ શાસ્ત્રાર્થમાં મંડન મિશ્ર મધ્યસ્થી બન્યા.
ફરી શરુ થયેલા શાસ્ત્રાર્થમાં ઉભય ભારતીએ કામશાસ્ત્રના પ્રશ્નો પૂછ્યા હતા. એક માન્યતા પ્રમાણે શંકરાચાર્યે બધા પ્રશ્નોના જવાબ આપીને ઉભય ભારતીને હરાવ્યા. કેટલાક લોકોનો મત એવો છે કે સન્યાસી શંકરાચાર્યે શાસ્ત્રાર્થ માટે મુદત માંગી. મુદતના સમયમાં મૃત રાજાના શરીરમાં પ્રવેશ કરીને જરૂરી જ્ઞાન મેળવીને પછી શાસ્ત્રાર્થ જીત્યો.
અહી આપે કહ્યું તેમ કેટલાક માટે કુવારો એટલે અર્થ ગે હોય છે. એક મિત્રે મને કહ્યું કે ફલાણો તો ગે છે. જે વ્યક્તિની તેઓ વાત કરતા હતા તેને તેઓ વ્યક્તિગત રીતે જાણતા પણ નહોતા કે ઓળખાતા પણ નહોતા. એ સમયે તો મેં કઈ ના કહ્યું પણ મનમાં હસીને વિચાર્યું ભાઈ એક કામ કર એની સાથે કોઈ રાત વિતાવવા માટે કોઈ સ્ત્રીને મોકલ. એ જ તને માહિતી આપશે. પણ ભાઈ આમાં તારી કોઈ નજીકની પરિચિત મહિલાને મોકલજે, ધંધાદારીને મોકલીશ તો તને લોકો દલ્લો ધારી લેશે. આ ભાઈને મારે કહેવું હતું કે તમારા જે ગુરુજી છે તે પણ લગ્નસંસ્થાની બહાર છે. છોકરા/છોકરીઓ ૧૫ વર્ષે જાતીય રીતે મેચ્યોર થઇ જાય છે અને આજના સ્ટડી અને કરિયરના જમાનામાં લગભગ ૨૮-૩૦ વર્ષ સુધી લગ્ન નથી કરતા તો આ ગે/લેસ્બીયન જ હોય તો પોતાના સામાજિક વર્તુળમાં પણ નજર કરી લેવી જોઈએ.
કેટલાક કરિયર સેટ કરવા માટે મેરેજ નથી કરતા અથવા કેટલાક લોકો સારા જીવનસાથી માટે રાહ જોતા હોય છે, કેટલાકને સલમાનખાન જેવું જીવન જીવવું હોય છે તો શું આ બધા યુવકો/યુવતીઓ પણ ગે/લેસ્બિયન છે. કેટલાક મુરખોના મત પ્રમાણે તો જો ગર્લફ્રેન્ડ બ્રેકઅપ થાય એનો અર્થ તે છોકરાનો જ વાંક છે. તેની જ કોઈ ખામી હશે. એમને એ ખબર નથી પડતી કે બ્રેક અપ માટે માનસિક, વૈચારિક, આર્થિક, સ્વભાવગત કારણો પણ કામ કરતા હોય છે.
બુદ્ધિ શુદ્ધ હોય તો જ શુદ્ધ વિચારો આવે, બાકી મગજના બદલે સરકારી મુતરડી જેવું ઉભરાતું હોય તો હમેશા તે બુદ્ધિ પ્રમાણેના જ વિચાર આવે.
LikeLike
RSS links to Really Simple Syndication 🙂
LikeLike
Pratika-worship:
Brahman Himself is the object of worship, and the Pratika stands only as a substitute or a suggestion thereof, that is to say, where, through the Pratika the omnipresent Brahman is worshipped — the Pratika itself being idealised into the cause of all, Brahman — the worship is positively beneficial; nay, it is absolutely necessary for all mankind until they have all got beyond the primary or preparatory state of the mind in regard to worship.
http://www.ramakrishnavivekananda.info/vivekananda/volume_3/bhakti-yoga/worship_of_substitutes_and_images.htm
LikeLike