ડિપ્રેશન ફાયદાકારક?

imagesCA42X1ZUડિપ્રેશન ફાયદાકારક?
જો હું કહું કે ડિપ્રેશન ફાયદાકારક છે તો તમે માનશો ખરા? ચાલો બીજો સવાલ કરું કે તાવ આવે તે પણ અમુક અંશે ફાયદાકારક છે તો માનશો? તાવ આવવો મતલબ શરીરનું ઉષ્ણતામાન વધવું. પણ ઉષ્ણતામાન વધે છે કેમ? આપણને તાવ આવે મતલબ શરીર એની અંદર રહેલા કોઈ ઇન્ફૅક્શન સાથે કામ પાર પડી રહ્યું છે. હવે જો તાવ ઉતારવાની દવા લઈએ એનો મતલબ શરીરના કામમાં આપણે દખલ કરી રહ્યા છીએ. તાવ દ્વારા શરીર એને લાગેલા ચેપ સામે લડતું હોય છે અથવા તે લડાઈનું પરિણામ તાવમાં જણાતું હોય છે. દવા દ્વારા તાવ ઊતારીને આપણે શરીરની ક્ષમતા ઓછી તો નથી કરી રહ્યા ને? જો કે તાવ આવે તો ડૉક્ટરની સલાહ લઈને પગલા ભરવા સારા. હદ બહારનું ટેમ્પરેચર શરીરને કે મગજને નુકશાન કરી શકે છે. ઈવોલ્યુશનરી સયાકોલોજીને ધ્યાનમાં લઈએ તો ડિપ્રેશનનો પણ કોઈ હેતુ અવશ્ય હોય છે.

ડિપ્રેશન એટલે ગુજરાતીમાં કહીએ તો ઉત્સાહભંગ, ખિન્નતા, માનસિક ઉદાસીનતા એવો અર્થ થાય. ડીપ્રેશનના પણ અમુક લોકોને સમયાંતરે હુમલા આવતા હોય છે. અમુક સમય ડિપ્રેશન રહે પછી જતું રહે. ચર્ચિલને ડીપ્રેશનના હુમલા અવારનવાર આવતા એવું કહેવાય છે. લગભગ દરેકને જીવનમાં આવા ઉત્સાહભંગ સમયનો અનુભવ થતો હોય છે, ભલે ખબર ના પડે કે આ ડિપ્રેશન છે. Paul Andrews, a clinical psychologist, અને Andrew Thompson, a psychiatrist બંને સંશોધકોનું કહેવું છે કે ડિપ્રેશન અમુક અંશે પેલાં તાવની જેમ ફાયદાકારક છે.

Depression leads to more analytical thinking. કોઈ ગંભીર પ્રશ્ન ઉદ્ભવે અને તેના ઉકેલ માટે આપણે વિચારીએ તે સ્વાભાવિક છે. પણ જો તમે ડિપ્રેશન મહેસુસ કરતા હોવ તો પેલાં પ્રશ્ન વિષે વિચારવાની દિશા બદલાઈ જતી હોય છે તેવું આ બંને વૈજ્ઞાનિકોને સંશોધન સમયે જાણવામાં આવ્યું છે. આવી વ્યક્તિ મોટી ગંભીર સમસ્યાને એક સાથે ઉકેલવાને બદલે નાના વિભાગમાં વહેંચીને એને ઝડપથી ઉકેલી શકે છે. ઘણીવાર કોઈ સમસ્યા સામટી ઉકેલવા જાઓ તો અઘરું પડે એને થોડી થોડી ઉકેલવામાં સરળ પડે. સામાજિક સમસ્યાઓ જ્યારે આપણે ડિપ્રેશન અવસ્થામાં હોઈએ તો વધુ સારી રીતે ઉકેલી શકતા હોઈએ છીએ તેવું સંશોધન કહે છે.

Depression makes us more focused. ડીપ્રેશનમાં વિચારવાયુ ઊપડતો હોય છે. એકની એક વસ્તુને વાગોળ્યા કરવાનું થતું હોય છે. કોઈ એક ચિંતા પકડાઈ જાય મનમાં તો દિશા બદલાતી નથી. એક જ વિચાર વારંવાર આવતો હોય છે. ડિપ્રેશન માટેની દવાઓ પણ આ વિચારવાયુને ટાર્ગેટ કરતી હોય છે. પણ Andrews અને Thompson આને પેલાં તાવ સાથે સરખાવે છે. તાવ કોઈવાર સારો સાબિત થતો હોય છે તેમ ડિપ્રેશન અનુભવતા લોકો એક સમસ્યા વિષે વધુ પડતા ગંભીર બની બીજી નાની નાની સમસ્યાઓ પ્રત્યે દોરવાઈ જતા નથી. વિચાર વિચાર વિચાર વિશ્લેષણ વિશ્લેષણ વિશ્લેષણ અને જ્યાં સુધી સમસ્યા હાલ નાં થાય ત્યાં સુધી વિચાર વિચાર વિચાર વિશ્લેષણ વિશ્લેષણ વિશ્લેષણ..તો દવાઓ અને આલ્કોહોલ લઈને ચિંતન, મનન, ઊંડી વિચારણા બંધ કરવાનું એવોઈડ કરવું જોઈએ. સમસ્યાનાં ચિંતનમાંથી ભાગવા માટે આપણે આલ્કોહોલ લેતા હોઈએ છીએ. અને એમ કરીને ખુદ સમસ્યાથી ભાગતા હોઈએ છીએ. દારુ પીને હળવા થવું મતલબ શાહમૃગની જમે રેતીમાં મુખ છુપાવવું. સમસ્યા કરતા એને હલ કરવાનું ચિંતન વધુ પરેશાન કરતું હોય છે. હહાહાહાહાહા….

Physical symptoms keep us on target. ડીપ્રેશનમાં એકાંત ગમતું હોય છે. એકલાં રહેવાની ઇચ્છા થતી હોય છે. લિબિડો મતલબ જાતીય સુખ ભોગવાની ઇચ્છામાં ઘટાડો થતો હોય છે. થાક વર્તાય છે. ઊંઘ પણ ઓછી થઈ જતી હોય છે. તો શરીર આવા ચિન્હો દર્શાવી તમને જાણ કરતું હોય છે કે સમસ્યાને જલદી ઉકેલો. સમસ્યાને હળવેથી લેશો નહિ. સમસ્યા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરો. શરીરને થતી પીડા, દુઃખ, દર્દ કામના છે તેના વગર ખબર ના પડે કે ક્યાં પ્રૉબ્લેમ છે.

Andrews અને Thompson ડિપ્રેશન માટે તરત દવાઓ કે દારુ લઈને તેના ચિન્હો નાશ કરવાના પક્ષમાં નથી. જૈવિક અથવા બાયોલોજીકલી બહુ થોડા લોકો ડિપ્રેશન વડે પીડાતા હોય છે. તેમના માટે દવાઓ કામની છે, હિતાવહ છે. મોટાભાગના લોકો સંજોગોવશાત ડિપ્રેશન વડે પીડાતા હોય છે, જે એક દિશાસૂચક છે કે ભાઈ સમસ્યા ગંભીર બનતી જાય છે તેના પ્રત્યે ધ્યાન દો એને હલ કરો. ઘરેલું સંબંધોમાં તણાવ આવી જાય કે બીજી કોઇપણ સામાજિક કે આર્થિક સમસ્યા હોય ત્યારે લોકો ડિપ્રેશન વડે પીડાતા હોય છે. ડિપ્રેશન પોતે રોગ નથી પણ ક્યાંક રોગ છે તેની જાણ કરતું ચિન્હ છે, તાવ પોતે સ્વતંત્ર રોગ નથી ક્યાંક ઇન્ફૅક્શન છે તેની જાણ કરતું એલાર્મ છે. વિચારો સાથે વાતો કરો, અભિવ્યક્તિને અર્થસભર લખાણમાં પરિવર્તિત કરીને ચિંતન મનન વધારી સમસ્યાના હલ તરફ આગળ વધો. ઓશો કહેતા કે ભાગો મત જાગો.
Food for thought. Give it a think. હહાહાહાહાહાહા!!!

Reference: Andrews, P. & Thompson, J.A. (2009). The bright side of being blue: Depression as an adaption for analyzing complex problems. Psychological Review, 116 (3), 620-654.

17 thoughts on “ડિપ્રેશન ફાયદાકારક?”

  1. ડીપ્રેશન – નિરાશા … શું અદભુત ચિંતનનો વિષય છે … વાહ!!!
    ….
    ડીપ્રેશન-નિરાશા-સમસ્યા નું નિવારણ તે ‘સમય’ છે … પણ … તે તો ક્યારેક-જ … અને ખરેખરતો સમય-નો સદ-ઉપયોગ કરી અને ધીમી ગતિએ કે ઝડપથી તે સમસ્યાની પાછળ પડવું પડે … હવે, હકીકત પણ એવી બની છે કે જેમ વસ્તી વધે છે તેમ જીવન-જરૂરીયાત મેળવવાનાં સ્ત્રોતની સ્પર્ધા પણ વધે છે … એટલે તમને ડગલે-અને-પગલે અવરોધો વધવાના અને તે અવરોધો કે વિરોધને જાતે-જ હટાવવા પડે કારણકે આવા નાના કામો તમારા વતી ‘ભગવાન’ કરવા નહિ આવી શકે … તમારે-જ આ નિરાશામાંથી બાહર નીકળવું પડે … અને મહેનત કરાવી પડે …

    આ નિરાશા-નિષ્ફળતા-ડીપ્રેશન ગજબની હસતી છે … ઘણા તો આ નિરાશા-નિષ્ફળતાને એવી-તો-પચાવે છે કે … એક મહાન ફિલસૂફ-કવિ-ચિત્રકાર અને ગાયક બની જાય છે … અને પોતાના દર્દને ગળે લગાડીને જીવે છે … અને કોઈક તો કરોડો-પતિ પણ થઇ જાય છે … એટલેકે – સાલું આ ડીપ્રેશન-નિરાશા-નિષ્ફળતા પણ વેચાય છે …

    ઘણા લોકોનો અભિગમ નિરાશા વિરુધ્ધ્દ એવોતો ગજબ રહ્યો છે કે –
    “મારી ઓટ જોઇને ખુશ ‘નાં’ થઈશ એ કિનારા … હું તો સુનામી થઇ ને આવીશ”
    અને તેવા સુનામી જેવા શશક્ત હતા અને જેમને નિરાશાને પ્રચંડ હાર આપી … તેવા હતા બાબર, મહારાણા પ્રતાપ અને બીજા-વિશ્વ-યુદ્ધનું-રશિયન-આર્મી … અને આજનું જાપાન …

    અને ઘણાને આ નિરાશામાંથી રસ્તો નથી જડતો અને આત્મવિશ્વાસ ખોઈને મ્રત્યુ-ને-વ્હાલું કરે છે … હિટલર અને ચંગીઝખાન જેવા જબરજસ્ત ખૂંખાર-વ્યક્તિઓને પણ નિરાશાએ હરાવ્યા …
    ….
    અને છેલ્લે – જે લોકો કે પ્રજા હંમેશા આનદ-માં-જ રહે અને નિરાશાનો સામનો કે ભવિષ્યની સુરક્ષાની ચિંતા કે અક્રમક્તા શૂન્ય રાખી અને દેશ પણ લશ્કર-સૈનિકો-વિહોણું રાખે તેનું શું થાય … શું થાય બીજું? … ‘તિબેટ’ એક મહાન-ફિલસુફી વાળો ધાર્મિક દેશ ખરો પણ આજે નામો-નિશાન નથી તેનું … અને જો ભારતીય પ્રજા પણ નિરાશા-કે-આઘાતોનો પ્રતિકાર કરવા અક્રમાંક્તા નહિ અખત્યાર કરે તો ભારતનું નામો-નિશાન પણ નહિ રહે અને ભારત-દેશનું મૃત્યુ નિશ્ચિત છે …
    એટલે કર્મશીલ બનો … નિરાશા-અને આઘાતને હરાવો … અને સ્વતંત્ર રહો …

    Like

    1. “મારી ઓટ જોઇને ખુશ ‘નાં’ થઈશ એ કિનારા … હું તો સુનામી થઇ ને આવીશ…એક વાક્યમાં બધું આવી ગયું..આફરીન..આફરીન..

      Like

  2. વાહ !!! વાહ !!!!!

    સમસ્યા ગંભીર બનતી જાય છે તેના પ્રત્યે ધ્યાન આપી હલ કરવાનો પ્રયત્ન કરો…

    અભિવ્યક્તિને અર્થસભર લખાણમાં પરિવર્તિત કરીને ચિંતન મનન વધારી સમસ્યાના હલ તરફ આગળ વધો…..લખાણમાં પરિવર્તિત કરો…

    Like

  3. ડિપ્રેશન આત્મવિશ્વાસનો અભાવ સૂચવે છે. વિક્ટિમહુડ, એટલે કે, બધા મારાથી વિરુદ્ધ છે અને મને નુકસાન પહોંચાડવા મથે છે, એમ માનવું એ પરાજિત મનોદશા દર્શાવે છે.ડિપ્રેશનનું એ મૂળ કારણ બને છે.
    ક્યારેક આખી પ્રજા કે આખો વર્ગ વિક્ટિમહુડથી પિડાતો હોય છે. સામાન્ય રીતે આત્મસમીક્ષા ન કરવાથી આવું બને છે. સામૂહિક ડિપ્રેશનમાં વેરભાવ પ્રબળ હોય છે. એ વખતે ડિપ્રેશન ખતરનાક બની જાય છે. જે વ્યક્તિએ સ્વસ્થ રહેવું હોય એણે વિક્ટિમહુડથી બહાર આવીને આત્મવિશ્વાસ કેળવવો જોઇએ અને જે સમાજ આવી મનોભાવનાથી ગ્રસ્ત હોય એણે આત્મસમીક્ષા કરવી જોઇએ,

    Like

    1. બહુ સરસ દીપકભાઈ. બધા મારાથી વિરુદ્ધ છે અને મને નુકસાન પહોંચાડવા મથે છે, આવું સ્કીજોફ્રેનીક મનોદશામાં વધુ હોય છે.

      Like

  4. બાપુ કેટલું સુંદર અને સચોટ લખ્યું છે ડીપ્રેશન વિશે… મારી સગાઇ થઇ ત્યારે પહેલી વાર હું ડીપ્રેશનમાં આવેલો ૨૫ વર્ષની ઉંમરે… ૫૫ કિલો વજનમાંથી એક જ મહિનામાં મારો વજન ૪૨ કિલો થય ગયેલો… ઘણાં ડૉક્ટરોને બતાવેલું બધાંનું એક જ મંતવ્ય તમને કોઇ રોગ કે દર્દ છે જ નહિ જેમાં એક મહિનામાં ૧૩ કિલો વજન ઘટી શકે… પછી મને જાણ થઇ સાલુ આ તો ડીપ્રેશન છે હહાહાહા હજુ હાલમાં પણ થોડા ટેન્સનમાં પાચન શક્તિ પર ખૂબ અસર પડતી હોય છે… ખરેખર કહું આ લેખ સંપૂર્ણ મે બે વાર વાંચ્યો છતાં શું કોમેન્ટ કરવી એ નથી સમજાતું… હજુ એક વાર વાંચવો પડશે હહાહાહા

    Like

  5. ખિન્નતા, ઉદાસી, દુખ, પીડા અને તાણ (ડીપ્રેસન) વચ્ચે ભેદ છે. ડીપ્રેસન કેમિકલ લોચાથી થાય છે, એવું આ વિષયના તજજ્ઞોનું કહેવું છે. તેમ છતાં આ તજજ્ઞો જે સારવાર કરે તેનાથી સંપૂર્ણ સાજા થઇ ગયા હોય તેવા કિસ્સાઓ ઘણા જ અલ્પ છે. આના પ્રકારો પણ ઘણા છે. હાઈ, લો, મીડીયમ… આતો માત્ર શરૂઆતનું સ્ટેજ છે. જેમકે પીળિયો પછી કમળો પછી કમળી આવું જ… આમાં પણ પછી વિચિત્ર પ્રકારના રોગો લાગુ પડે. ક્યાં, કેમ, શા માટે થાય એના કારણો પર સંસોધનો થતા જ રહે છે. પણ અંતિમ સત્ય સુધી પહોચી શકાયું નથી. દવાઓ લેવી કે સાયકો થેરાપી આપવી એ વિષે પણ ગુંચવાડો છે. આ રોગો પર ફિલ્મો, કથાઓ બને છે પણ તેના કારણો ઉદ્ભવ અને વિકાસનો કોઈ પાર પાર પામી શક્યું નથી. અને બધું વિકસિત દેશોમાં વધારે પ્રમાણમાં છે. આપણે બહુ વાંધો નથી.

    Like

    1. વિરલભાઈ મેં પણ જે લખ્યું ચે તે તજજ્ઞોનાં સંશોધન ઉપરથી જ લખ્યું છે. કેમિકલ લોચા વડે થતા ડિપ્રેશન માટે દવાઓ લેવી મહત્વની છે.

      Like

  6. ઘણો માહિતીપ્રદ લેખ છે. આપની આજ્ઞા સમજી થોડી પૂરક વાતો લખું.
    તાવ રોગ નથી, રોગનું ચિહ્ન છે. મહદાંશે શરીરની રોગપ્રતિકારક શક્તિને કાર્યમાં સહાયક પણ બને છે. આ તો જાણે ખબર હતી. પણ ડિપ્રેશન, ઉદ્વેગ પણ ક્યારેક મન/શરીર માટે ઉપયોગી બનતી ક્રિયા છે તે આટલું ઝીણવટથી પ્રથમ વખત જાણ્યું. માનવા જેવું પણ લાગ્યું. (આમ તો આપે ડિપ્રેશનનાં ગુજરાતી પર્યાય ઉલ્લેખ્યા જ છે, પણ વિચાર કરતાં મને આ “ઉદ્વેગ” એ સચોટ અને અર્થસભર પર્યાય જણાય છે. વીદ્વાનોનું માર્ગદર્શન આવકાર્ય.)

    અનુભવ એવો પણ છે કે, ડિપ્રેશન હટાવવા માટે શારીરિક શ્રમ ઘણો ઉપયોગી જણાય છે. કદાચ કોઈ મનોરસાયણિક પ્રક્રિયા થતી હશે. ચાલવું કે કસરત કરવા લાગી પડવું એ પણ શ્રમની અવેજીમાં અજમાવી શકાય. મહદાંશે અજમાવાતી ’ગટગટાવ’ ક્રિયા ફાયદાકારક નથી એવું આપનું માર્ગદર્શન ગટક કરતું ગળા હેઠે ઊતરી ગયું !

    શ્રી. દીપકભાઈએ સામૂહિક ડિપ્રેશનનું સરસ વિવરણ આપ્યું. સામૂહિક ડિપ્રેશન કદાચ આત્મવિશ્વાસનો અભાવ કે વિક્ટિમહુડની માનેલી પિડા દર્શાવતો હશે. અને એ ખતરનાક કે વેરભાવ વધારનાર બને એ પણ સમજાયું. કદાચ, ઉત્સવો, મેળાવડાઓ જેવા સામૂહિક ઉત્સાહવર્ધક પ્રસંગો આ સામૂહિક ડિપ્રેશનને હટાવવામાં સહયોગી થતા હશે. ગુજરાતમાં આ અજમાવાયેલો ઉપાય છે તેમ કહી શકાય. પણ આપ બંન્ને વિદ્વાનોને વાંચતા મને એટલું તો સમજાયું કે, વ્યક્તિગત અને સામૂહિક ડિપ્રેશનનાં કારણો કદાચ સમાન હોઈ શકે, પરિણામો અને ઉપાયો અલગ પડી શકે છે. બંન્નેમાં એ રોગ નહિ પણ રોગનું દ્યોતક છે. ક્યારેક ઉપચાર પણ છે. અને અંતે કોઈ કવિએ (આમ તો ’ઘાયલ’ વિના બીજું કોણ હોય !) કહ્યું તે;

    દુ:ખ વગર, દર્દ વગર, દુ:ખની કશી વાત વગર;
    મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર.
    — દર્દ અચ્છા હૈ ! પણ ઘાયલ કી ગત ઘાયલ જાને ! સુંદર લેખ બદલ આભાર.

    Like

    1. કસરત કરવાથી ઘણો ફાયદો થાય છે. કસરત કરવાથી સ્ટ્રેસ હાર્મોન્સ છૂટતા હોય છે. જે ફાયદાકારક હોય છે. ઉત્સવો, મેળાવડા વગેરે સામૂહિક ડિપ્રેશન હટાવવામાં ઘણો ભાગ ભજવે છે.

      Like

  7. એક વિનંતી (આ પ્રતિભાવ ડિલિટ કરવો)
    લેખમાં ’ચિન્હ’ (chinha) શબ્દ વારંવાર વપરાયો છે. સાચી જોડણી “ચિહ્ન” (chihna) છે. સુધાશોજી. આભાર.

    Like

    1. લોકબોલીમાં ચિન્હ જ સાંભળેલું માટે એવું લખેલું. જોકે સાચો શબ્દ ચિહ્ન છે. સમય મળે સુધારી લઈશ. વિંનતી માન્ય પણ હુકમ નહિ..હહાહાહા સુધારવાની વિનંતી માન્ય પણ પ્રતિભાવ ડીલીટ કરવાનો હુકમ માન્ય નહિ. બાપુઓ કોઈનો હુકમ માનતા હશે? હહાહાહા

      Like

      1. આપણે “વેગુ”ના સહાયકો છીએ, એટલે હવે જેનું અને જ્યાં ગુજરાતીના સાચા શબ્દો વિશે ધ્યાન પડે ત્યાં ટકોર કરતા રહેવું. પરસ્પર શબ્દભંડોળ વધે, સાચા શબ્દો ચલણમાં રહે, (અને આપણી પણ થોડીઘણી ગણના વિદ્વાનોમાં થાય 🙂 ) એવા સારા હેતુથી આવી ઘોંચપરોણાગત (!) ચાલતી રહેશે ! જો કે આવી તકનિકી બાબતોની ચર્ચા મૂળ લેખને ફંટાવે નહિ એટલે બને ત્યાં સુધી એને માત્ર ધ્યાનાકર્ષક પ્રતિભાવ ગણી, યોગ્ય જણાય તો અમલ કરી, ઢાંકી દેવો ! (એટલે આપને વિનંતી કરેલી, પણ એમ બાપુઓ કંઈ માને થોડા !! 🙂 ) ધન્યવાદ.

        Like

  8. ડીપ્રેશન-નિરાશા-સમસ્યા નું નિવારણ તે ‘સમય’ છે. ડિપ્રેશન આત્મવિશ્વાસનો અભાવ સૂચવે છે. ખિન્નતા, ઉદાસી, દુખ, પીડા અને તાણ (ડીપ્રેસન) વચ્ચે ભેદ છે. ડીપ્રેસન કેમિકલ લોચાથી થાય છે, એવું આ વિષયના તજજ્ઞોનું કહેવું છે.

    Like

Leave a comment