આક્રમકતા શું અનિવાર્ય છે?

English: Konrad Lorenz Français : Konrad Lorenz
Image via Wikipedia

આક્રમકતા શું અનિવાર્ય છે??

ઓસ્ટ્રીયન ethologist Konrad Lorenz (1903 -1989 ), કહે છે કે આક્રમક રવૈયો માનવ સ્વભાવમાં જન્મજાત હોય છે. આક્રમકતા પૂર્વક વર્તન કરવું આપણાં શરીરમાં ઇન બિલ્ટ હોય છે. એક ટાંકીમાં પાણી ઊભરાઈ જાય તે પહેલા થોડું વહાવી દેવું જરૂરનું છે તેમ ગુસ્સો પણ થોડો નિષ્કાષિત થઈ જાય તે જરૂર છે. એના અહિંસક રસ્તા શોધી શકાય છે, જેમ કે ટેનિસ રમીને , કે ફૂટબોલને લાતો મારી મારીને તમે નાઈસ વ્યક્તિ બની શકો છો. લગભગ મોટાભાગના ખેલાડીઓ શાંત અને નમ્ર હોય છે.
      આક્રમકતા, હિંસા અને ગુસ્સો માનવ સ્વભાવમાં સામાન્ય છે. માનવ જાતને સૌથી વધુ ખતરો માનવ જાતથી જ છે. આ પૃથ્વી ઉપર માનવ જાતે એના જાતિ બંધુઓની સૌથી વધુ હત્યાઓ કરી છે, બીજા પ્રાણીઓ એવું કરતા નથી. સર્વાઈવલ માટે દરેક પ્રાણીને લડવું પડતું હોય છે, તે વાત જરા જુદી છે. હિંસક પ્રાણીઓ પણ એના જાતી બંધુની હત્યા ભાગ્યેજ કરતા હોય છે. વાઘ કે સિંહ બીજા વાઘ કે સિંહ સાથે એમના અસ્તિત્વની લડાઈ લડતા હોય છે, પણ એમાં હત્યા ભાગ્યેજ કરાતી હોય છે, બહુ બહુ તો મારીને ભગાડી મૂકવાનો.
    ઘણા પ્રાણી સમાજ એવા છે કે ત્યાં આક્રમકતા બહુ ઓછી જોવા મળે. અથવા સાવ નહિવત્ હોય છે. એ બાબતમાં ગાય બહુ શાંત પ્રાણી છે. દરિયાઈ કાચબા પણ ખૂબ શાંત હોય છે. માઉન્ટેન ગોરીલા પણ બહુ જેન્ટલ જાયન્ટ્સ  ગણાય છે. એની સામે spotted Hyena ખૂબ ખૂંખાર હોય છે. અરે એમના બચ્ચા જેમની હજુ આંખો પણ ઊઘડી હોતી નથી, એમના સાથે રહેતા ભાઈઓને મારી નાખવાનો પ્રયત્ન કરતા હોય છે. Hyena કબ્સ તીક્ષ્ણ કેનાઇન દાંત સાથે હત્યા કરવા પ્રીપ્રોગ્રામ્ડ જન્મ લેતા હોય છે. માનવ જાત ક્યાંક ગાય અને હાયના વચ્ચે બિરાજમાન છે. લાગે છે ગાય કરતા દૂર અને હાયના કરતા નજીક.
   આ આક્રમકતા અને હુમલો કરવાની વૃત્તિ સાથે ક્યાંક ઇકોનોમિકસ પણ જોડાયેલું છે. મધર નેચર બહુ સારી રીતે જાણે છે કે ક્યાં અને કઈ રીતે એની વિપુલ સંપદા વાપરવી. એટલે પ્રાણી જગતમાં aggression ત્યાં જોવા મળે છે જ્યાં ફાયદો વધારે હોય અને ચૂકવવી પડતી કિંમત ઓછી હોય. ઘણી પ્રાણીઓની જાતમાં હિંસક સ્વભાવ કે આક્રમકતા ખાસ જોવા મળતી નથી, કેમકે ત્યાં એવા વલણનો કોઈ ફાયદો હોતો નથી. ઘણા પ્રાણીઓમાં વ્યક્તિગત આક્રમકતા ઓછી જોવા મળે કે ત્યાં ફાયદા કરતા કિંમત વધુ ચૂકવવી પડે.પણ જે જાતોમાં aggression માટે બેનીફીટ મોટા પ્રમાણમાં હોય અને ચૂકવવી પડતી કિંમત બહુ ઓછી હોય ત્યાં આક્રમક રવૈયો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતો હોય છે. આ બેનીફીટ અને કોસ્ટ છે શું??
     હરીફાઈ આક્રમકતાની જનની છે. એક જ વસ્તુ માટેની  જરૂરિયાત અને ઇચ્છા બે કે વધારે વ્યક્તિઓ વચ્ચે ટકરાય ત્યાં આક્રમકતા આવવાની. આપણે શું ઇચ્છીએ છીએ તેની સાથે આક્રમકતાનો ફાયદો જોડાયેલો છે. બધા સજીવો ખોરાક, mates અને વિસ્તાર કે જગ્યા માટે હરીફાઈ કરતા હોય છે. ખોરાકની જરૂરિયાત અને તેના માટે લડવું કોઈ પ્રાણી માટે કીમતી હોય છે. જ્યારે બીજા પ્રાણી માટે એટલું મહત્વનું હોતું નથી. એક વૃક્ષ ઉપરના ફળો માટે એક વાનર બીજા તમામને ખદેડી મૂકે તો એના માટે ખોરાકની શક્યતા ખૂબ વધી જાય. કારણ અહીં જે જીતે તે આખા વૃક્ષનાં ફળ મેળવી શકે. અહીં આક્રમકતાનો ફાયદો બહુ મોટો છે. પણ એક મોટા મેદાનમાં ચરતી ગાય માટે આક્રમક બનીને બીજી બધી ગાયોને તગેડી મૂકવું અઘરું છે. કારણ ઘાસ બધી જગ્યાએ છે અને બહુ મોટા વિસ્તારમાં હોય છે. એના કરતા શક્ય તેટલું પેટમાં ઓરી લેવું બીજી ગાયો શું કરે છે તેની ચિંતા કર્યા વગર. અને ગાયો આખો દિવસ આજ કરતી હોય છે. દરેક પ્રાણીઓનો પોતાનો એક વિસ્તાર કે એરિયા હોય છે. તેના રક્ષણ માટે જીવ સટોસટની લડાઈ જામતી હોય છે. આ વિસ્તાર એમનો છે તેવું બીજા પ્રાણીઓને જણાવી રાખવા માટે ઠેક ઠેકાણે મૂત્ર વિસર્જન કરીને એની ગંધ મૂકતાં હોય છે. હવે શહેરમાં વૃક્ષ રહ્યા ના હોય તો ઇલેક્ટ્રિક પોલ ઉપર કૂતરા મૂત્ર વિસર્જન કરીને બીજા કૂતરાને ચેતવતા હોય છે કે ભાઈ આ મારો વિસ્તાર છે, અનધિકૃત પ્રવેશ બંધ છે. Mates માટેની લડાઈઓ આપણે જાણીએ છીએ. એક આમ્રપાલી માટે આખું વૈશાલી અજાતશત્રુએ ભસ્મીભૂત કરી નાખેલું.
      આક્રમક બનીને લડવામાં ચૂકવવી પડતી કિંમતમાં એક તો પોતાને શારીરિક ઈજા થાય, અને ફેમિલી મેમ્બરને પણ એમાં નુકશાન થાય. ફાયદો નુકશાન કઈ રીતે લડાઈ લડવામાં આવે છે તેનાં ઉપર આધાર રાખે છે. પ્રાણીઓ પાસે મોટા ધારદાર દાંત, ફાડી નાખે તેવા જડબા, અને મોટા શિંગડા હોય છે. જો આવા હથિયાર તેઓની પાસે ના હોય તો એમને આક્રમક બનીને હુમલો કરવાની બહુ મોટી કિંમત ચૂકવવી પડે. પણ પોતાની જાતનાં બીજા પ્રાણી સામે લડવામાં આનો ઉચિત ઉપયોગ ના થાય તો?? સિંહ જબરદસ્ત શિકારી છે, પણ બીજા સિંહને મારી નાખે તેવું ભાગ્યેજ સંભાળવા મળે.
    માનવા જાતમાં સમ્પદા માટે આક્રમક બનીને તેને monopolized કરી શકાય છે. જીતેલો બધું રાખીલે. અહીં આક્રમકતાનો ફાયદો બહુ મોટો છે. વળી માનવો બીજા પ્રાણીઓની જેમ ડેન્જરસ શાર્પ દાંત, શિંગડા કે મજબૂત જડબા વડે સજ્જ હોતા નથી. એમાં વળી માનવ જાતે દૂરથી ફેંકી શકાય તેવા હથિયાર બનાવ્યા, જેથી દૂરથી હથિયાર ફેંકીને કોઈને પણ મારી શકાય. આમાં હિંસા સામે ચૂકવવી પડતી કિંમત ઓછી થઈ ગઈ. હાથોહાથની લડાઈમાં કિંમત ઘણી ચૂકવવી પડે. હાથમાં ચાકૂ લઈને મારવા જવું તેના કરતા બંદુકનો ભડકો કર્યો હોય તો વળી રિસ્ક બહુ ઓછું. અમેરિકામાં કહેવાય છે કે કોઈ બંદુક કોઈને મારતી નથી, લોકો બીજા લોકોને મારે છે. સાદું સત્ય એ છે કે હાથમાં બંદુક લઈને કોઈને મારવાની કિંમત ઓછી ચૂકવવી પડે જ્યારે બંદુક વગર કોઈને મારવા જાવ તો કિંમત બહુ મોટી ચૂકવવી પડે. આમ બંદુક વગરના લોકો કરતા બંદુકધારીઓએ બહુ મોટી હત્યાઓ કરી છે.
   આમ માનવ જાત આક્રમક છે કેમકે આક્રમકતા એક કીમતી સાધન છે જે ઓછી  કીમતે પ્રાપ્ત છે. છતાં આ આક્રમકતા ઓછી કરી શકાય છે. Homo sapiens પાસે આક્રમક બનવા માટેની ક્ષમતા  ખૂબ મોટી હોય છે. ભલે આપણે તે જાણતા હોઈએ કે નહિ, ભલે આપણે આક્રમક કે પછી નમ્ર બનીને હરીફાઈ કરીએ, બધું આધાર રાખે છે આસપાસના વાતાવરણ ઉપર. આપણે આક્રમકતાના ફાયદા ઓછા કરીને ચૂકવવી પડતી કિંમત વધારીને આક્રમકતા ઓછી કરી શકીએ છીએ. સજા કરીને કે કરેલી  હિંસા માટે કોઈ રીવોર્ડ ચૂકવાનું બંધ કરીને કે નીતિમત્તા કે મોરાલીટી શીખવીને પણ હિંસક વલણ ઓછું કરી શકાય છે. ધર્મોનું શિક્ષણ ખરેખર માનવજાતમાં રહેલી હિંસક વૃત્તિ ઓછી કરવા માટે હતું, એના બદલે ધર્મોને જ આડ બનાવીને માનવોએ સૌથી મોટા હત્યાકાંડ કર્યા છે
 

9 thoughts on “આક્રમકતા શું અનિવાર્ય છે?”

  1. મનોવિજ્ઞાન પ્રમાણે આક્રમકતા અને વિનમ્રતાનું સુંદર દર્શન.
    મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે વિનમ્ર કે આક્રમક હોવું એ દરેકના વ્યક્તિત્વ પર આધાર રાખે છે. કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે વ્યક્તિનું વિનમ્ર કે આક્રમક હોવું એ તેની ચયાપચયની પ્રક્રિયા પર આધાર રાખે છે.ચયાપચય ક્રિયામાં ખોરાક ઉર્જામાં પરિવર્તિત થાય છે. જેના શરીરની ચયાપચયની ક્રિયા વધુ ઝડપી હોય છે તેઓ વધુ આક્રમક હોય છે. જ્યારે ધીમી ચયાપચય પ્રક્રિયાવાળા લોકો વિનમ્ર હોય છે.
    કુદરત આક્રમક બની છે દરેક આફત સંદેશ આપે છે.
    હંમણા વિશ્વ રાજકારણમા આક્રમતતા વધુ જોવા મળે છે.ઘણા નેતાઓની લીડરશીર થિયરી- ‘થિયરી ઓફ અગ્રેસિવ એકસન વીથ કમિટમેન્ટ ઓફર ચેન્જ’ પ્રકારની છે !. અને તેમની આ થિયરીમાં વિશ્વ બદલી નાંખવાની તાકાત માને છે!!
    ‘ધ ટ્રુથ અબાઉટ ગર્લ્સ એન્ડ બોયઝ’માં કેરિલ રિવર અને રોઝલીન્ડ બનેટે લખ્યું છે.

    માનવામાં આવે છે કે મહિલાઓ નાજુક, નમણી અને નબળી હોવાને કારણે આક્રમક નથી હોતી, પણ આ માન્યતાને ખોટી હોવાનું વૈજ્ઞાનિક બર્નેટ અને પત્રકાર રિવરે સંયુક્ત રીતે સંશોધન કરીને પુરવાર કર્યું છે. જોકે તે છતાંય સ્ત્રીઓ વધુ પ્રમાણમાં જખ્મી થાય છે કે મૃત્યુ પામે છે તે પણ એટલું જ સાચું છે. સમય બદલાવાની સાથે મહિલાઓ ઘરની બહાર નીકળતી થઇ છે. પુરુષો જ રમતાં હોય એવી ક્રિકેટ, ફૂટબોલ, બોડી બિલ્ડિંગ અને કુસ્તી જેવી રમતોમાં ભાગ લેતી થઇ છે.
    આક્રમકતા અને ક્રોધ, ગુસ્સા વચ્ચે ફરક છે. આક્રમકતા દ્વારા શારીરિક, માનસિક કે શાબ્દિક રીતે સામી વ્યક્તિને ઘાયલ કરી શકાય છે.ઘરેલુ હિંસાના કિસ્સામાં મહિલાઓ દ્વારા થતી હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે.મોટા ભાગના કિસ્સામાં મહિલાઓએ જ હિંસા ભડકાવવામાં પહેલ કરી હોય છે.
    આર્થિક, શારીરિક, માનસિક અને સેક્સુઅલ હિંસાનો ભોગ બનતા પુરુષો પોતાની બદનામીથી બચવા માટે ચૂપ રહે છે. આમ, મનમાં ને મનમાં મૂંઝાતા અનેક પુરુષો આત્મહત્યા પણ કરે છે.પુરુષો મહિલાઓને ખરાબ રીતે મારીને તેમને વધુ ઘાયલ કરે છે. આનું કારણ એ હોય છે કે તેઓ વધુ શક્તિશાળી હોય છે. મહિલાઓમાં પણ વધુ તાકાત હોય તો તેઓ પણ વધુ આક્રમક બને.
    છેલ્લે “ધર્મોનું શિક્ષણ ખરેખર માનવજાતમાં રહેલી હિંસક વૃત્તિ ઓછી કરવા માટે હતું, એના બદલે ધર્મોને જ આડ બનાવીને માનવોએ સૌથી મોટા હત્યાકાંડ કર્યા છે” આ ખૂબ દુઃખદ સત્યે છે.અહીં પણ ‘જેહાદ જેન’ કોઇ આતંકવાદી સાઝિશનો કોડવર્ડ નથી પણ અમેરિકાની સૌ પ્રથમ મહિલા આતંકવાદી છે. તે અમેરિકન છે અને અમેરિકા તેમજ યુરોપમાં જે પણ જુથો આતંકવાદી હુમલો કરવા માંગે છે તેને તે સાથ આપવા તૈયાર છે. તો બીજી તરફ તેની પોતાની એવી મહિલા આતંકવાદીઓની ટુકડી બનાવી ચુકી હોવાનું મનાય છે જેની મહત્તમ સભ્યો અમેરિકા અને યુરોપની ગોરી મહિલાઓ છે….

    Like

    1. આમ જ મારા લેખોમાં રહેલી અધુરપ પૂરી કરતા રહેશો, મારા જુના લેખો પ્રતીક્ષા કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર.

      Like

  2. બહુ જ સરસ લેખ. ખાસ કરીને ’બેનીફીટ અને કોસ્ટ’ વાળો મુદ્દો ખરે જ વિચારપ્રેરક રહ્યો અને ઉદાહરણ સહ સરસ સમજાયો પણ ખરો. પ્રજ્ઞાબહેનના પ્રતિભાવથી વધુ તાકાત, વધુ આક્રમકતા એ સુત્ર જાણવા મળ્યું. મહિલાઓ બાબતે તેમણે આપેલું નિરિક્ષણ વિચારપ્રેરક જણાયું. તાકાતનો વિશાળ અર્થ લઈએ તો બૌદ્ધિક, આર્થિક, સામાજીક વગેરે ગુણોમાં ચઢિયાતુપણું એ પણ સશક્તિકરણનો ભાગ હોય અને મહિલાઓનું પણ આ સર્વે ગુણમાં સશક્તિકરણ થતું હોય તેમાં આક્રમકતાનો ગુણ ખીલવો સ્વાભાવિક છે. એકંદરે આક્રમકતા એ પણ સાવ નેગેટિવ ગુણ નથી જ. (બસ જરા બચકે રહના !)

    અને હવે એક વાત જે મજાકમાં ન લેવી, માત્ર ખરેખરા ઉદાહરણ તરીકે લેવી ! આ શ્વાનની સ્થંભાભિષેક પ્રવૃત્તિ પરથી ધ્યાને આવ્યું, મારી બાઈક જ્યારે વ્યવાસાયસ્થાને હોય ત્યારે ત્યાંના શ્વાનો તેના ટાયર પર અચૂક એકાદ અભિષેક કરે જ અને જેવી તે બાઈક લઈ અન્ય કોઈ વિસ્તારમાં જવાનું થાય ત્યારે ત્યાં પાર્ક થયેલી ઘણી બાઈક્સ પડતી મેલી તે વિસ્તારનો એકાદ શ્વાન ચોક્કસ પણે મારી બાઈકના ટાયરને પવિત્ર કરે જ !! (પ્રથમ તેને સુંઘ્યા પછી !) આ વર્ષોથી ચાલી આવતી સમસ્યા છે. સારી રીતે સર્વિસ કરાવેલી હોય તો બે-ચાર દહાડા શાંતિ રહે પણ વળી જેવો એકાદ શ્વાન તેને પવિત્ર કરી જાય એટલે આ (કુ)ચક્ર ફરી ચાલુ થઈ જાય !! હવે ઉપાય તો ભલે ના સાંપડ્યો પણ પાક્કું કારણ તો આજે સાંપડ્યું જ. આભાર.

    Like

    1. શ્રી અશોકભાઈ ઇલેક્ટ્રિક પોલ સાથે બાઈક, સ્કુટર લખવાનું રહી ગયેલું. હું નાનો હતો ત્યારે વિજાપુરમાં બારોટ વાસમાં રહેતા હતા. સાંજે ફળિયાના બૈરા ભેગા થઈને બેઠાં હોય ગામગપાટા અને નીન્દાકુથલીમાં મગ્ન હોય ત્યારે કોઈ શ્વાન આદતવશ એમાંના કોઈની પીઠ પવિત્ર કરી જતો. આજે પણ યાદ આવતા હસવું આવે છે.

      Like

  3. આજના મંગલ પ્રભાતે આપને તથા આપના કુટુંબીજનોને
    ૨૦૧૨ ના મંગલ નુતન વર્ષની શુભ કામના

    આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને
    બે હજાર બારનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો.

    સ્વપ્ન જેસરવાકર ( પરાર્થે સમર્પણ)

    Like

Leave a comment