સપનામાં સાપનો સળવળાટ.(Hard Truths About Human Nature).

Snake
સપનામાં સાપનો સળવળાટ.(Hard Truths About Human Nature).
    ઘણા મિત્રોને સ્વપ્નમાં સર્પ દેખાતા હોય છે. મારા એક મિત્ર પત્નીને નાનપણમાં સાપના સપના ખૂબ આવતા એવું તેમનું કહેવું છે. એમના પિતાશ્રીએ કંઈક ભાથીજી મહારાજની બાધા રાખી હશે. જો કે હવે તેમને સર્પ ઊંઘમાં દેખાતા નથી. મેં આવી ઘણી બધી સ્ટોરી મિત્રો પાસેથી સાંભળી છે. ઘણાબધાએ આવી વાતો સગાસંબંધી અને મિત્રો પાસેથી સંભાળી હશે. એક મિત્રને કોઈએ ઉપાય તરીકે મહાદેવને દૂધ ચડાવવાનું સૂચવ્યું હશે, પછી એવા ભયજનક સર્પના સપના બંધ થઈ ગયા હશે, પણ કોઈ વાર દૂધ ચડાવવાનું ચૂકી જવાય તો ફરી સપનું આવે. આ બધી હકીકત છે, સર્પનું સપનું આવવું તે પણ હકીકત છે અને મહાદેવને દૂધ ચડાવવાની કે ભાથીજી મહારાજની બાધા રાખવાથી સર્પના સપના બંધ થઈ જવા તે પણ હકીકત  છે. પણ આવું કેમ થતું હશે?
   Evolutionary mismatch નો આ એક ઓર અદ્ભુત નમૂનો છે સર્પના સપના આવવા. સર્પનો ભય આદિમ છે. આપણાં પૂર્વજો Hunter -gatherer  હતા, જંગલોમાં રહેતા હતા. આજના જેવા સુરક્ષિત મકાનોમાં રહેતા નહોતા. સર્પ અને બીજા સરીસર્પ આસપાસ ભમતા જ હોય.અવારનવાર એમનો મુકાબલો થઈ જતો હશે. સર્પે એના સર્વાઈવલ માટે ભયાનક રાસાયણિક ટેક્નિક વિકસાવેલી છે. એનું ઝેર કાતિલ હોય છે. સર્પના કરડવાથી આપણાં પૂર્વજો મરી જતા હશે. ઘણા સર્પ ઝેરી હોતા નથી. ખબર કઈ રીતે પડે કે આ સાપ ઝેરી નથી.પ્રયોગ તો કરાય નહિ, ફોલ્સ નેગેટિવ એરર તો કરાય નહિ. જોખમ કોણ લે? સર્પ જોઇને નક્કી કર્યા વગર ભય પામી ભાગી જવું અથવા એને મારી નખાય તો મારી નાખવો તેવું વલણ આપણાં પૂર્વજોનું રહ્યું હશે. તે સમયે કોઈ એન્ટી વેનોમ તો હતા નહિ. બસ આ માહિતી અને જીવલેણ અનુભવ જિન્સમાં બીજી પેઢી દર પેઢી ઊતરતા રહ્યા. આજે  હવે જ્યારે આપણે જંગલમાં રહેતા નથી છતાં સાપનો ભય તો લાગે જ છે. મોટાભાગે બહુ મોટા સાપ કે ઝેરી સાપ સાથે મુલાકાત થઈ જાય ત્યારે ભય લાગે તે સ્વાભાવિક છે. એને માઈલ્ડ Ophidiophobia કહેવાય, પણ આ ફોબિઆ જરા વધી જાય તો નાના સાપ પણ ડરાવવા લાગે. અને ખૂબ વધી જાય તો સાપના ફોટા કે ટેલિવિઝન શો પણ દેખી શકો નહિ, ધ્રુજારી વછૂટી જાય. ગરોળી,કાચિંડા કે કરોળિયાથી ડરવા લાગીએ તો એને  Herpetophobia કહેવાય છે. સાપનું સપનું આવવું  અલગ વાત છે અને એવા સપના થકી ભય પામવું અલગ વાત છે. અને આવા સપના થકી ભવિષ્યમાં કશું ખરાબ થશે તેવું માનવું અલગ બાબત છે. મને પોતાને ટીવીમાં ડીસ્કવરી ચેનલ કે નેશનલ જીયોગ્રાફી ચેનલમાં સાપ વિશેના પ્રોગ્રામ જોયા પછી સાપનું સપનું કોઈ વાર આવતું હોય છે, પણ મને કદી તેવા સપનાનો ડર લાગ્યો નથી.
        આ સર્પનો ભય માનવજાત માટે એક સર્વાઈવલ મીકેનીઝમ છે. માનવજાત તો પછી આવી તે પહેલા આ દુનિયા ઉપર રેપ્ટાઈલ એટલે સરીસર્પનું રાજ ચાલતું હતું. આદિમ મેમલ પ્રાણીઓ માટે આ ખૂંખાર સરીસર્પથી બચવું અને નવી પેઢી મૂકતા જવું પડકાર જનક કામ હતું. આદિમ મેમલ પણ સર્પથી ડરતા હશે. કારણ સર્પ એમને સ્વાદિષ્ટ ભોજન ગણતા હશે. આજે પણ સર્પનું પ્રિય ભોજન આદિમ મેમલ એવું ઉંદર છે કે નહિ? સર્પનો ભય આપણાં જિન્સમાં માહિતીરૂપે પડેલો હોય છે. અને ક્યાંક ને ક્યાંક આપણે સાપ જોતા જ હોઈએ છીએ. શહેરોમાં જોવા ના મળે તો મદારી દેખાડી આપે. ગામડાઓમાં તો સાપ સાથે એન્કાઉન્ટર થવા સ્વાભાવિક છે. અને કોઈ નાં બતાવે તો મહાદેવના મંદિર તો છે જ. ત્યાં નાગદેવતા લિંગ ઉપર એમની છત્રછાયા બિછાવીને બેઠેલા જ હોય છે. બસ પેલો ડર અચેતન રૂપે સપના દ્વારા વ્યક્ત થવા લાગતો હોય છે. બધાને આવું થાય તે જરૂરી નથી. હવે વગડામાં રોજ જવાનું તો હોતું નથી. જે લોકો રોજ ખેતરોમાં વગડામાં ફરતા હોય અને સાપ અવારનવાર દેખાતા હોય તે સહજ હોય ત્યાં હું માનું છું આવો અતિશય સર્પનો ભય હોતો નથી.
    સાપનાં સપના આવે તે સત્ય હોય છે. અવારનવાર કે રોજ આવે તે પણ સત્ય હોય છે. હવે મહાદેવને દૂધ ચડાવવાનું કહેવાથી અને રોજ તેમ કરવાથી આપણાં મનને શાંતિ થઈ જાય કે હવે મહાદેવ સંભાળી લેશે. આમેય ભારતની ૯૯.૯૯ ટકા પ્રજા ખૂબ ધાર્મિક છે. એટલે એક વિશ્વાસ પેદા થાય કે હવે સાપનાં સ્વપ્ન બંધ થઈ જવાના. બસ એમ સાપના સપના આવતા બંધ થઈ જતા હોય છે, પણ એક જાતનું માઈન્ડ સાથે કંડીશનિંગ થઈ જાય છે.  જે દિવસે દૂધ ચડાવવાનું રહી જાય તે જાગૃત મનને ભલે ખબર ના હોય, પણ અચેતન મન કે સબ કોન્શિયસ મન કહો તેને તો ખબર જ હોય છે કે આજે દૂધ ચડાવ્યું હોતું નથી, તો તે રાત્રે સપનું ફરી આવતું હોય છે. જેમ કે બીડી કે ચા પીધા વગર પેટ સાફ ના આવે તેવું. સાપના સપના પછી, ઘણીવાર શરીરમાં કોઈ ગંભીર ઇન્ટરનલ રોગ હોય તેની સૂચના મળે તે સહજ અકસ્માત હોઈ શકે. બાકી ભાથીજી મહારાજને નાળિયેર ચડાવો કે મહાદેવને દૂધ ચડાવો તેની સાથે સાપને શું સંબંધ? ભાથીજી મહારાજ ખેડા જિલ્લાના ફાગવેલ ગામના હતા અને ગાયોને બચાવવા જતા શહીદી પામેલા. એમના ફોટા સાથે સાપનો એટલે કે નાગદેવતાનો ફોટો હોય છે. કઈ રીતે એમની સાથે જોડાઈ ગયો તે મને હિસ્ટ્રી મને ખબર નથી. ખેડા, બરોડા અને ભરૂચ જીલ્લાના લગભગ દરેક ગામમાં એમનું મંદિર હોય છે. ઉત્તર ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં જોવા ના મળે. ત્યાં વળી બીજા કોઈ મહારાજ હશે. સાપના આદિમ ભયે જ સાપને મહાદેવ સાથે રહેવા મજબૂર કરી દીધો હશે, કે જુઓ અમારા મહાદેવ ભયાનક એવા સાપને ગળે લઈને ફરે છે ને?
    કાલીય નાગ, તક્ષક અને શેષનાગ આપણી પૌરાણિક કથાઓના અમર પાત્રો છે. લોકવાયકા અને એવી કથાઓ પણ હોય છે કે કોઈ નાના બાળકના માથે સાપે ફેણ ફેલાવીને એનું રક્ષણ કર્યું, આવા દ્રશ્યો જોઇને તે બાળક મહાન ચક્રવર્તી બનશે તેવી આગાહીઓ કરવામાં પણ આવી છે. આવી વાર્તાઓ ગોઠવી કઢાઈ હોય છે. એમાં કશું તથ્ય હોય નહિ. નાગ બદલો લે તેવા વાર્તાઓ પણ હોય છે, અને આવી બકવાસ વાર્તાઓના મુવી પણ બન્યા છે. સાપ પાસે મેમલ બ્રેઈન કે કોર્ટેક્ષ હોતું નથી, એની પાસે ખાલી રેપ્ટાઈલ બ્રેઈન હોય છે. સાપ કે કોઈ પણ  રેપ્ટાઈલ ઓક્સીટોસીન નામનું ન્યુરો કેમિકલ પેદા કરતા નથી, જે વિશ્વાસ અને પ્રેમનું જનક છે. સર્પ કોઈના ઉપર ટ્રસ્ટ રાખે નહિ. રેપ્ટાઈલ ત્રણ વસ્તુ જાણતા હોય છે, એક તો સામે સાઈઝમાં પોતાની પ્રજાતિનું હોય કે કોઈ પણ, નાનું સરીસર્પ મળે તો ખાઈ જાઓ, મોટું મળે તો ભાગી જાવ અને પોતાની પ્રજાતિનું પણ સરખી સાઈઝનું મળે તો સંભોગ કરો.
     સાપના સપના ખૂબ આવતા હોય તો સર્પ વિષે જેટલું જ્ઞાન પ્રાપ્ત થાય તેટલું કરવું જોઈએ. સાપના ફોટા કે ટીવી શો જોવા જોઈએ. પ્રાણીબાગમાં જઈને  સાપને નજદીકથી જોવો જોઈએ. સાપનાં ઍજ્યુકેશનલ શો જોવા જોઈએ. સેલ્ફ હિપ્નોસીસ કે  cognitive -behavioral therapy  જેવી થેરાપી લેવી જોઈએ કે ભાઈ સાપ હવે ભયજનક રહ્યા નથી. આપણે હવે જંગલમાં રહેતા નથી. અમદાવાદમાં હું મારા બાળકોને લઈને સાપ વિષે ઍજ્યુકેશનલ શો જોવા ગયો હતો. લગભગ જોધપુર ટેકરા એરીયામાં સુંદરવન હતું. ત્યાં જાતજાતના સાપ હતા, એક ઓપન એર થિયેટર હતું ત્યાં બેસીને આ શો જોવા મળતા હતા. અહી સાપને કાન હોતા નથી તે પ્રત્યક્ષ સમજાવેલું. ઝેરી કોબ્રાની ફેણ પાછળ તે ભાઈ તાલી પાડતા હતા પણ સાપ સાંભળતો જ નહોતો. પણ સામે આવીને હાથ હલાવ્યો તો ડંખ મારવા જબરી ઝડપ મારેલી. મદારીઓ સાપ વિષે ઘણીબધી અજ્ઞાનતા અને અંધ શ્રદ્ધા ફેલાવતા હોય છે. મદારીઓ સાપ દૂધ પીવે છે તેવું કહી પૈસા કમાતા હોય છે. સાપનો ખોરાક દૂધ નથી, દૂધ એના માટે ઝેર સમાન છે. પર્યાવરણની ચિંતા રૂપે નાગપંચમી શરુ થઈ હોવી જોઈએ, પણ આપણી અજ્ઞાનતા જુઓ. ખાલી નાગ પંચમીના દિવસે દર વર્ષે લાખો સાપ ભારતમાં મરી જતા હોય છે તેવો એક સર્વે આવેલો. આ દિવસે અંધ શ્રદ્ધાળુઓ પાસેથી કમાવા માટે મદારીઓ સાપના મોઢામાં પરાણે દૂધ રેડે છે, અને એના ફેંફસામાં દૂધ જતું રહેવાથી સાપ મરી જતા હોય છે. નાગ પંચમીનો તહેવાર સાપ માટે ભારતમાં એમનો મૃત્યુદીન બની જાય છે. નાગ પંચમી મનાવીને આપણે ઇકોલોજીની ચિંતા કરીએ છીએ કે નાશ?
         એક બણગાં ફૂંકનારા મિયા ફુસકી હતા. એક દિવસ વગડે જઈને આવ્યા પછી કહે,
  ‘આજ તો મૈને સો સાપ દેખે.’  મિત્રોએ કહ્યું ભાઈ સાવ ફેંકો નહિ,
 ‘એક સાથ  સો સાપ કૈસે નવરે પડ ગયે કે ઘૂમને નીકલે? ઐસા હો નહિ શકતા.’ પણ મિયાભાઈ  માને? કહે
‘ચલો સો નહિ તો પચાસ તો હોંગે હી હોંગે.’ મિત્રો કહે,
‘પચાસ ભી એક સાથ હો નહિ શકતે, જરા રંધા કમ ચલાઓ, કુછ ઢંગ કી બાત કરો.’  મિત્રો નકારતા ગયા તેમ ધીમે ધીમે ભાઈ સંખ્યા ઘટાડતા ગયા.છેવટે કહે,
‘સાલે દો તો થે હી માં કસમ જૂઠ નહિ બોલતા.’ મિત્રો કહે જુઓ સો ઉપરથી બે ઉપર આવી ગયા.
‘મિયા ખાલાકી કસમ સચ બતાદો.’ મિયા કહે,
‘ ક્યા કહું મૈ તો ગભરા ગયા થા, સાલા કુછ સલવલ સલવલ હોતા થા’

29 thoughts on “સપનામાં સાપનો સળવળાટ.(Hard Truths About Human Nature).”

  1. As usual ઘણો સારો લેખ. ઘણી માહિતી મળી. મારો ખ્યાલ છે કે સાપનાં સપનાંનો સાયકોલૉજીમાં ખાસ અર્થ છે. ચોક્ક્સ ખબર નથી પરંતુ એને કદાચ સેક્સ સાથે સંબંધ છે. એ જ રીતે ઘોડા કે ખાલી ઘરનાં પગથિયાં ચડવાં-ઊતરવાં વગેરે પણ સેક્સ સંબંધિત સપનાં છે. આ બાબતમાં સ્પષ્ટતા કરવા વિનંતિ છે.

    તમે એક વાત લખી છે તે બાબતમાં મારો અભિપ્રાય અહીં વ્ય્ક્ત કરૂં છું. તમે લખ્યું છેઃ”સાપના આદિમ ભયે જ સાપને મહાદેવ સાથે રહેવા મજબૂર કરી દીધો હશે, કે જુઓ અમારા મહાદેવ ભયાનક એવા સાપને ગળે લઈને ફરે છે ને?

    અહીં જુદાં જુદાં પ્રતીકો ભળી ગયાં છે. મહાદેવ – એટલે કે શિવ – આર્યો પહેલાંના દેવતા છે. (મહાદેવ માત્ર વિશેષણ છે -જે સૌથી મોટાદેવ છે તે). આર્યોએ એમને સ્વીકારી લીધા ત્યારે પોતાની કલ્પનાઓ પણ ઉમેરી. ઋગ્વેદમાં જણાવ્યા પ્રમાણે સો્મની વેલ મૌજવાન (મુંજ ઘાસવાળા) પર્વતમાં થાય છે. આ પર્વતમાં સાપ ઘણા હતા. ચન્દ્રનું બીજું નામ સોમ પણ છે એટલે ચન્દ્ર ખરેખર તો સોમરસની જગ્યાએ ઘુસી ગયો છે. અને નાગ સોમની વેલનો સાથી છે. શિવ પર્વતવાસી છે. (જૂઓ મૌજવન પર્વતની યાદ આ રીતે વ્યક્ત થાય છે). એ પર્વતમાં મળતી સોમની વેલ (ચન્દ્રરૂપે) અને નાગ પણ એમની સાથે જોડાઈ ગયાં છે. શિવ નશો કરતા એ પણ કથાઓ દ્વારા જાણીએ છીએ. આમ સોમનો એમની સાથે સંબંધ સ્થાપિત કરવાનું સહેલું બની ગયું. આજે પણ શિવરાત્રિમાં ભાંગનો મહિમા છે. આ રિવાજો આર્યો અને અનાર્યોના સમન્વયના પ્રતીક છે.

    Like

    1. ચોક્ક્સ ખબર નથી પરંતુ એને કદાચ સેક્સ સાથે સંબંધ છે. એ જ રીતે ઘોડા કે ખાલી ઘરનાં પગથિયાં ચડવાં-ઊતરવાં વગેરે પણ સેક્સ સંબંધિત સપનાં છે.
      (સિગમન્ડ ફ્રોઈડનો પણ આ જ ઓપિનિયન છે.)

      Like

        1. [એ જ રીતે ઘોડા કે ખાલી ઘરનાં પગથિયાં ચડવાં-ઊતરવાં વગેરે પણ સેક્સ સંબંધિત સપનાં છે.
          આ બાબતમાં સ્પષ્ટતા કરવા વિનંતિ છે.] દીપકભાઈ

          [ચોક્ક્સ ખબર નથી પરંતુ એને કદાચ સેક્સ સાથે સંબંધ છે.
          એ જ રીતે ઘોડા કે ખાલી ઘરનાં પગથિયાં ચડવાં-ઊતરવાં વગેરે પણ સેક્સ સંબંધિત સપનાં છે.]
          હિમાંશુભાઈ

          દીપકભાઈ અને હિમાંશુભાઈ ની વાત ને સામ્ર્થીય આપતા ભુપેન્દ્ર્સીહજી
          [સત્ય વાત છે. આપનું તારણ સાચું છે. અચેતન મનની ખૂબીઓ દરિયા જેવી ગહન હોય છે.]
          ભુપેન્દ્ર્સિંહજી

          ઉપર કોપી પેસ્ટ કરેલ મિત્રો ની કોમેન્ટ્સ ધ્યાન માં રાખી
          મારો ઈરાદો વિષય યાંતર કરવાનો નથી પણ પ્રશ્નાર્થ રૂપે છે.

          ગુજરાતી માં સપના માટે સપના સાચા નથી પડતા અને સપના સાચા પડે છે.
          બંને વાક્ય પ્રયોગો પર્સંગાનુંસર થતા હોય છે.

          જો કોઈ વ્યક્તિ સજાગ અવસ્થા માં ઘોડો જુવે, ઘોડા ગાડી માં બેસે કે ઘોડેસવારી કરે અથવા
          સજાગ અવસ્થા માં ખાલી ઘર ના પગથીયા ચડે – ઉતરે તો સેક્સ સબંધિત માનસિક અસરો
          મન ઉપર થાય કે નહિ ? જો આવા પ્રયોગ થયા હોઈ તો આ વિષે માહિતી કઈ જગ્યા એ મળે ?

          Like

          1. જાગૃતાવસ્થાની દુનિયાસ્વપ્નાવસ્થામાં પ્રતીક બનીને આવે છે એમ મનોવૈજ્ઞાનિકો માને છે. એટલે પ્રત્યક્ષ ઘોડો કે દાદર ચડવો-ઊતરવો એ ક્રિયાને સેક્સ સાથે સંબંધ નથી. આ બાબતમાં ફ્રોઈડનું સાહિત્ય વાંચવા જેવું છે. મેં માત્ર વાંચ્યું છે, ઊંડો અભ્યાસ નથી એટલે મારા તરફથી કઈં કહી શકું એમ નથી.

            Like

      1. હિમાંશુભાઈ, ફ્રોઇડનું નામ એટલા માટે ન લખ્યું કે ખાલી ઘરનાં પગથિયાં ચડવાં-ઊતરવાં, એ સપનાને સેક્સ સંબંધ છે એ તો મેં The Interpretation of Dreamsમાંવાંચ્યું છે, પણ સાપ અને ઘોડા વિશે ફ્રોઇડે લખ્યું હોવાનું યાદ નથી આવતું કદાચ કોઈ બીજો લેખક હોય અથવા મારા મગજ પર ફિલ્મો અને લોકવાયકાઓની પણ અસર હોય! આભાર.

        Like

  2. માહતી પૂર્ણ અને વૈગનાનીક અભિગમ નો સમન્વય કરતો લેખ છે.
    મારા અભિપ્રાયો :
    જો મારી યાદ બરાબર હોય તો
    વર્ષો ઉપર વાંચેલ હિન્દુધર્મ ઉપર શ્રી સર્વપલ્લી રાધા ક્રીશાનન (ભારત ના પ્રેસિડેન્ટ) ના એક
    પુસ્તક માં એવી રજૂઆત કરી હતી કે
    હિંદુ ધર્મ માં દેવ અને દેવીઓ ને જે તે પ્રાણી, પંખી સાથે જોડેલા હોય છે
    તે દેવ દેવીઓ ના વ્યક્તિત્વ અને સાથે જોડેલા પ્રાણી, પંખી ના વ્યક્તિત્વ માં સમાનતા હોય છે.

    ગુજરાત માં ચુંટણી દ્રર્મીયાન અનેક ઉમેદવારો પોતાના નામ સાથે કોઈ ચિહન પણ રાખતા માટે
    અશિક્ષ્તિત મતદાર ચિહન જોય મત આપી શકે. કોઈ ઉમેદવાર ગધેડા નું ચિહન રાખતા નથી.
    અમેરિકા માં ગધેડો પ્રચલિત છે!!!
    વાંચક મિત્રો કોય ની ગધેડા સાથે સરખ્માનની કરવી એટલે શું ? હસવાની છુટ છે!

    યમ રાજા જીવ લેવા પાડા ઉપર આવતા ચિત્રો જોયા નું મને યાદ છે.
    પાડો નજીક થી જોયો હશે તો તેનું વ્યક્તિત્વ જરૂર સમજાશે.

    આ મારો પોતાનો અંગત અભિપ્રય છે.
    ઝેરી સાપ જરૂર જીવ માટે જોખમી છે. પરંતુ સાપ ઉંદર ખાઈ ને એક biological control ઉભો કરે છે.
    સાપ મારવા થી ઉંદરો ની સંખ્યા વધે છે. ઉંદરો ભારત માં પુષ્કળ પ્રમાણ માં અનાજ બગાડે છે.
    માટે હું તો માનું છું, સાપ ના જીવન ને સમજી સાવચેતી વાપરી સાપ ની વસ્તી યોગ્ય પરમાણે રાખવી હિતકારી છે.
    મદારીઓ એ લોકોની સાપ ની બીક ને આજીવિકા નું સાધન બનાવી અંધ્શ્ર્ધા માં વધારો કરેલ છે.

    Like

  3. ભૂપેન્દર્સિંહજી લેખ વાંચ્યો અને જાણ્યું પણ ખરું ન હતી ખબર તે,આભાર.

    Like

  4. અમે આફ્રિકા ગયા હતા ત્યારે મોમ્બાસા નજીક એક સ્નેક પાર્કમા ગાયા ત્યા મારા નાના દિકરાએ એક ખૂબજ મોટો અજગર ગળે વિટાળ્યો હતો અને હુ તો ગભરાઇજ ગયેલી પછી આઠ દસ નાના સાપ પણ પકડ્યા ,પાછા વળતા એક સાપ એને શર્ટમા મૂકી દીધો પેલા પાર્ક વાળાએ માગ્યો તો કહે મારી પાસે નથી,એટલામા શર્ટના બે બટન વચ્ચેથી સાપે મો બહાર કાઠ્યુ અને આપી દેવો પડ્યો અમે એને ખૂબ ધમકાવ્યો અને સમ જાવ્યો. તો કહે મારે ઘેર લૈજવો હતો.
    હમણા થોડા વખત પહેલા વડોદરા એની દુકાન જે ઍપાર્ટ્મેંટ મા છે ત્યા એક સાપ આવી ચ્ડ્યો હશે તે ભાઇ સાહેબે જાતે પકડી લીધો એટલુજ નહી પાછા ફૉટા પાડીને મને મોકલ્યા, હુતો એવી ગુસ્સે થૈકે નાપૂછો વાત,એની સાથે ફોન પર વાતજ કરવાની બન્ધ કરી દીધી,છેવટે એને મે સોગન્દ આપ્યાકે હવે કોઇ દિવસ આવુ ના કરવાનો હોયતોજ હુ તારી સાથે વાત કરીશ , એ સૌથી નાનો છે અને મરો ખાસ મિત્ર જેવો અને લાડકો છે એટલે મને ચિંતાતો થાયજ !
    એને કશાની બિકજ નથી લાગતી વડોદરામા ક્યાક મગર નિકળે તોયે એ દોડતો પહેલો પહોચી જાય્ગરોળીનેય એ પકડી લે અમે બૂમો પાડતાજ રહી એ.
    આ સોગંદ ને અને માનવી ને શુ સમ્બન્ધ ? એના વિષે કાઇક લખો એવી વિનંતી.
    .

    Like

  5. શ્રી.ભુપેન્દ્રસિંહજી, ઘણી બધી જાણકારી મળી.
    જાગૃત અવસ્થામાં મને પણ સાપનો સામાન્યથી વધારે ડર લાગે છે, (આપે ડર દૂર કરવાનો ઊપાય દર્શાવ્યો છે તે અજમાવવા પ્રયાસ કરીશ) જો કે સપનામાં સાપ દેખાયાનું યાદ નથી. સાપનો સેક્સ સાથેના સંબંધની વાત આવી તે વિશે ઘણી જગ્યાએ વાંચવામાં આવ્યું છે. સપનામાં સાપનું આવવું તેને, ડર કરતાંએ વધુ તો, સેક્સ વિષયક અતૃપ્તિ સાથે સંબંધ હશે તેવું કહીએ તો ચાલે ? કોઈ એક એડ.માં પણ એક સુંદરી શરીરે સાપ (અજગર) વિંટાળીને દર્શાવવામાં આવતી તે ખાસ યાદ રહ્યું છે ! તે એડ.નો જબ્બરજસ્ત પ્રભાવ પડતો.

    આપે જણાવ્યું તેમ સાપ સાંભળતો નથી, દૂધ પીતો નથી, વગેરે વાતો સંપૂર્ણ તથ્ય હોવા છતાં મોટાભાગનાં લોકો દૂધ પીવડાવવા વગેરે માટે તલપાપડ રહ્યા કરે છે તેને વર્ણવવા માટે પણ કહેવત વપરાશે કે, ’સાપ ગયા અને લીસોટા રહ્યા’.

    આ સાપનું સપનું આવવું અને દૂધ ચઢાવી તેનું નિરાકરણ બાબતનું મનોવૈજ્ઞાનિક તથ્ય બહુ સ_રસ સમજાવ્યું. દૂધની જેમ જ ગળે ઉતરી ગયું ! લગભગ બધીજ ’માનતાઓ’ પાછળનું તથ્ય તો આ જ હશે તેમ લાગે છે. અને હા, સો સાપની વાર્તા નાનપણમાં સાંભળતા આજે વળી આપે યાદ કરાવી. સલવલ સલવલમેં સો સાપ દેખતા મગજ ફોલ્સ પોઝિટિવ એરરનું જબરજસ્ત ઊદાહરણ સમજાવે છે. મનને અમથું મર્કટ જેવું ગણ્યું હશે ? ભલે મર્કટ તો મર્કટ પણ એ ઠેકડો મારી જીવ બચાવી લે છે ખરું ! બહુ જ મજેદાર લેખ. આભાર.

    Like

    1. ભાઈ સાપનો ડર લગાવો સ્વાભાવિક છે, હા! જો એના ફોટા કે ટીવીમાં જોઈને પણ બીપી વધી જાય કે ઘણા બુમો પાડી ઉઠે તો ચેતવા જેવું. બાકી સામાન્ય ડર તો સહુને લાગે. આપને માઈલ્ડ Ophidiophobia હશે.

      Like

  6. સરસ વિશ્લેષણ ભુપેન્દ્રભાઈ. એક પ્રશ્ન થાય છે કે, ભૂતના સપના કે દર વિષે કોઈ સમજુતી ખરી?

    Like

  7. બાપુ આપ ના દરેક લેખ માં કૈક ને કઈક નવીનતા અને તે પણ પૂર્ણ સંસોધિત હોવી એ દરેક વાંચક માટે સારી વાત ગણાય, જેમ ગુજરાત માં સાપ કરડે ત્યારે ભાથીજી મહારાજ ને ત્યાં કે તેના ભુવા પાસે દર્દી ને લઇ જવાય છે તેમજ અહી સૌરાષ્ટ્ર માં વાછડાદાદા કે જેના ફોટા ભાથીજી ને મળતા આવે છે !!! ત્યાં લઇ જવાય છે. ખરેખરા ઝેરી સાપ નો ડંખ અને તેનું ઝેર કોઈ ભૂવો ઉતારી શકતો નથી.અને ઘણા ખરા સાપ તો બિન ઝેરી હોય છે,તેવા સાપ ના ડંખ ના ઝેર થી નહિ પણ બીક થી લોકો બેભાન થઇ જાય છે , તેનાથી માણસ એટલો બધો ગભરાઈ જાય છે, અને તેને એટલો બધો માનસિક તણાવ થાઈ છે કે તેના હ્રદય પર તણાવ ની અસર થી તેનું હેદય બંધ પડી જાય છે ,આવી પરીસ્તીથી માં જે માનસિક સમતુલા જાળવી શકે છે તેવાજ લોકો ભુવા ના મંત્ર તંત્ર થી ઠીક થઇ જાય છે !!! ગુજરાત માં જોવા મળતા ચાર ઝેરી સાપ (૧) નાગ (કોબ્રા) (૨) કાળોતરો (ક્રેઇટ)(૩) ચીતળો (રસેલ્સ વાઈપર) (૪) ફૂરસો (સો સ્કેલડ વાઈપર) જોવા મળે છે. બિનઝેરી સાપ ના ડંખ નું નિશાન અર્ધ વર્તુળાકાર સમાન ટપકા વાળું અને ઝેરી સાપ ના ડંખ નું નિશાન અર્ધ વર્તુળાકાર જ પરંતુ મધ્ય માં બે મોટા અને ઊંડા ટપકા વાળું હોય છે.

    Like

  8. વાહ રાઓલ સર ઘણું જાણવા મળ્યું !! સાપ દૂધ પીવેજ નહિ ને એ વાત ૧૫ વરસ થી લોકો ને સમજવા માં આવતી હોય છતાં પણ લોકો સુધારતા નથી. અરે મદારી ને દેતી વખતે એમ કેવાય કે ભાઈ તું રાખ દૂધ ની પોટલી ને તારા છોકરાવ ને દેજે.પાના સાપ ના નામે ના લે !! આ વાત પેલા બિન વાગતા સાપ ડોલે છે ને સાપ બદલો લ્યે છે એમાં પણ લાગુ થાય છે!! ક્યારેક પ્રયોગ કરી જુવો સાપ ને બિન વગાડનાર વ્યક્તિ વચ્ચે કોઈ કાળું કપડું રાખશો તોહ સાપ ડોલે નહિ. પણ બસ એવા કેટલાય myth છે ને રહશે !!

    Like

  9. જો સાપ માણસો ના દિલ મા રહેલ ઝેર ને પારખી જાય તો તે પણ માણસો થી દુર રહેતો અને ઘભરાવા લાગે.

    Like

  10. ભૂપેન્દ્રસિંહજી,

    બાળપણમાં સાપ વિશેની જાત જાતની વાર્તાઓ અને કિસ્સાઓ સાંભળેલા. અને લગ્ન પહેલાં વિશાળ ફાર્મ હાઉસ જેવી જગ્યામાં રહેવાના કારણે સાપ ઘરની આસપાસ નીકળતા અને લોકો વગર જાણકારીએ ગેરમાન્યતા ને કારણે તેને મારી નાખતા. પણ સાપના સપનાં કે સાપનો ડર ક્યારેય ના લાગતો. હા, રાતના સમયે અંધકારમાં જવા સમયે તકેદારી રાખવી પડતી.

    પરંતુ છેલ્લાં થોડાં વર્ષોથી દીકરા સાથે ડિસ્કવરી ચેનલ પર દુનિયાના વિશાળ સાપ અને નાગ વિશેની ડોક્યુમેન્ટરી ખૂબ જ જોવાને કારણે આ સાપનો સળવળાટ કે રાત્રે કોઇ દોરડા કે પાઇપ જેવી વસ્તુને હાથ અડે ત્યારે સાપનો ડર લાગે. ખાસ તો અંધારામાં.

    એક વાત બાળપણમાં સાંભળેલી કે સાપના સ્વપ્ન આવે તો ખૂબ જ મોટો ખજાનો મળે.

    જય ગોગા મહારજની.. અહીં ઉત્તર ગુજરાતમાં અમુક કાર કે ટેક્સીની પાછળ નાગના ચિન્હ સાથે લખેલું હોય છે.

    Like

      1. વોરાસાહેબમ નથી વંચાતું તેના પર ક્લિક કરશો તો એક બ્લૉગ હિન્દીમાં ખૂલશે.

        Like

  11. શ્રી ભુપેન્દ્રભાઈ ,
    આપના વિચારોથી હું ઘણો જ પ્રભાવિત થયો છુ ,,પણ આપના વિચારો ને મેં જયારે ફેસબુક પર મુક્યા તો ગાળો ની વર્ષા થઇ ગઈ ,,,આપણ શાસ્ત્રો માં મશાહાર નો લેખ અદભુત છે પણ મને એક એવી દલીલ મળી કે એક સબળ ના બે અર્થ થાય છે ,,જેવા કે ઉક્ષા નો મતલબ માંસ ના થાય ,,થોડી મુંજવણ દુર કરશો તેવી કૃપા કરશો ,,,

    બીજું કે મને તો તમારા વિચારો ને રજુ કરવા બદલ હિંદુ વિરોધી કહેવામાં આવ્યું ,,પણ તમે ખુબ જ સ્ફોટક લખો છુ ,,i salute u ..

    Like

    1. મયંકભાઈ, એક જ ઉપાય છે. ભૂપેન્દ્રસિંહભાઈ તમારી વૉલ પર લખે.
      ઊક્ષા એટલે આખલો. ઋગ્વેદમાં એનું માંસ ખાવાનો ઉલ્લેખ છે.
      જે લોકો એમ માને છે કે બધા જ હિન્દુઓ શાકાહારી છે, તેઓ ‘બીજા’ અર્થ શોધે છે. ભાષામાં પહેલો અર્થ સૌ પહેલાં લેવાય. પહેલો અર્થ માંસભક્ષણ સૂચવે છે. એ લોકો વાંચે તો ગાળો ન આપે. પણ વાંચે તો પોતે જ ખોટા પડે.

      Like

Leave a comment