मा फ़लेशु कदाचन (Hard Truths About Human Nature)

मा फ़लेशु कदाचन(Hard Truths About Human Nature)

 આપણે માનવો આંબો વાવવા માટે ટેવાયેલા છીએ. એનું ખૂબ કાળજીથી જતન કરીએ છીએ. નિયમિત પાણી દઈએ છીએ. કોઈ પ્રાણી એનો નાશ કરી ના જાય માટે એની આજુબાજુ નાનકડી વાડ બનાવીએ છીએ. આપણને ખબર હોય છે કે એની કેરીઓ ખાવા નથી મળવાની. પશુઓ ખાલી બચ્ચાં પેદા કરવા પૂરતું ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે અને માનવો બાળકોના બાળકોનું પણ જતન કરીએ છીએ. જેથી તેઓ એમની રીતે નવી કેડી કંડારીને એમની રીતે જીવી શકે. આપણે વારસો મૂકતા જઈએ છીએ. કારણ આપણે માનવો છીએ.

વારસામાં આપણે ખાલી બાળકો જ મૂકતા નથી જતા. બીજું ઘણું બધું મૂકતા જઈએ છીએ. વારસામાં ખાલી આપણાં જીન મૂકતા જઈએ તેટલું પૂરતું નથી. પણ એ જેનિસ ખૂબ સારી રીતે ભવિષ્યમાં જીવે તેવું ઘણું બધું મૂકતા જઈએ છીએ. નવા વિચારો, નવી નવી શોધો, નવા નવા આદર્શો, નવી નવી પદ્ધતિઓ ઘણું બધું મૂકતા જઈએ છીએ. ભલે  એના ફળ આપણને ચાખવા ના મળે. આપણો યુનિક અર્ક અસંખ્ય રૂપે જીવતો હોય છે.

          Reproductive સફળતાને મદદરૂપ થાય તેવું કઈ પણ કરીએ ત્યારે Mammalian limbic સિસ્ટમ હૅપી કેમિકલ્સનો સ્ત્રાવ કરે છે. તમે ભલે reproductive success  માટે  ચિંતિત ના હોવ,  પણ તમારા હૅપી કેમિકલ્સ એની ચિંતા કરતા જ હોય છે. કુદરતનો આભાર માન્યા વગર પશુઓ ફક્ત એમના જેનિસ સર્વાઇવ થાય તેની ચિંતા અભાનપણે કરતા હોય છે. પશુઓ એ જ કરતા હોય જે એમના હૅપી કેમિકલ્સના સ્ત્રાવ માટે કારણભૂત હોય અને દુખ પમાડે તેવાને અવૉઈડ કરતા હોય છે.

              આપણું બ્રેન આપણે વારસામાં શું મૂકતા જઈએ છીએ તેનું અભાનપણે ચિંતા કરતું હોય છે, કારણ તે આપણાં હૅપી કેમિકલ્સનાં સ્ત્રાવ માટે કારણભૂત બનતું હોય છે. જરૂરી નથી કે વારસામાં ધનની મદદ વડે ચણેલી કોઈ મોટી ઇમારત મૂકતા જવું, કે પૌત્રપૌત્રાદીને કોઈ વાનગીની રૅસિપિ શીખવતા જવું. વારસામાં એક જ્ઞાનનું બીજ રોપતા જવું જે કાલક્રમે ફૂટીને વૃક્ષ બની જશે તેવો વિશ્વાસ હોવો જરૂરી છે.

એક વૈચારિક આંબો રોપતા જવું ભલે એની કેરીઓ ચાખવા પોતાને કદી મળે નહિ. બહુ અઘરું છે આવું કરવું, પણ વિચારો આજે આપણે ઘણું સારું જીવન જીવી રહ્યા છીએ કે ખૂબ સારા ફળ પ્રાપ્ત કરી રહ્યા છે કે એના બીજ આપણાં પૂર્વજોએ વાવેલા છે, જેઓ એના છોડ પર ખીલેલા સુંદર ફૂલ જોવા આજે જીવતા નથી.

Gregor mendel જિનેટિક્સનાં શોધક, એમના મૃત્યુના ૨૦ વર્ષ પછી એમની પોતે પબ્લિશ કરેલી સંશોધન બુક ઉપર વૈજ્ઞાનિકોનું ધ્યાન ગયું હતું. અને આજે ત્યાર પછીના વૈજ્ઞાનિકોએ જિનેટિક ને એક મહાવૃક્ષ રૂપે વિકસાવી દીધું છે. લગભગ મોટાભાગના લોકો એમના વાવેલા વૃક્ષોનાં ફળ ચાખ્યા વગર મૃત્યુ પામતા હોય છે.  ક્રિસ્ટોફર કોલંબસને મરતાં સુધી ખબર નહોતી એણે કોઈ ખંડ શોધી કાઢ્યો છે. વિન્સેન્ટ વાન્ગૉંગ અમૂલ્ય ચિત્રો મૂકતો ગયેલો એક પણ સેન્ટ કમાયા વગર. તિલક અને ગોખલે જેવા અનેક સ્વતંત્રતા માટે લડેલા સેનાનીઓ લાલ કિલ્લા ઉપર લહેરાતો તિરંગો જોવા જીવ્યા નહોતા.

આશરે ૬૦૦ વર્ષ પહેલા જૂનાગઢના ઉચ્ચ ગણાતા બ્રાહ્મણ નાગરી નાતના નરસિંહ મહેતાએ અસ્પૃશ્યતા નિવારણ માટેનું એક નાનકડું બીજ હરીજનવાસમાં ભજન ગાઈને રોપેલું.  એના ૫૦૦ વર્ષ પછી પોરબંદરના મોહનદાસ કરમચંદ ગાંધી નામના વણિકે એને ખૂબ પાણી પાયું. અને આજે ? જો લોકો એવું વિચારે કે હું જે વાવું તેના ફળ મને આજે જ ચાખવા મળવા જોઈએ, બાકી વાવું નહિ, તો આજે આપણે જે નવી દુનિયા જોઈ રહ્યા છીએ તે હોય નહિ.

૨૫૦૦ વર્ષ પહેલા ભારતે દુનિયાને લોકશાહીનો આદર્શ એક બીજ રૂપે આપેલો. આજે લગભગ થોડાક દેશો બાદ કરતા બધે લોકશાહી ચાલે છે. આજે આકાશે આંબતી ઈમારતો જોઈએ છીએ એનું કારણ છે ઈસુના ૩૩૦૦ વર્ષ પહેલા શૂન્યની શોધ પહેલા ભૂમિતિનું જ્ઞાન હરપ્પન લોકોને હતું.

ચાખવાનો આનંદ માણ્યાં વગર સુંદર ફળ  ઊતરશે જ એવી દ્રષ્ટિ કેળવતા નવું નવું વાવેતર કરતા જવું એનું નામ જીવન. ઘણીવાર નિરાશા ઊપજતી હોય છે કે દુનિયા તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ મળતો હોતો નથી. કે દુનિયા અને લોકો આપણાં કરેલા કામને કે વાવેતરને નજર અંદાજ કરતી હોય છે, ધ્યાનમાં લેતી નથી. અહી જ શ્રી કૃષ્ણે કહ્યું છે કે નિષ્કામ ભાવે કર્મ કરે રાખ કે અનાસક્ત થઈને કામ કરે રાખ. કારણ તમે દુનિયાને કંટ્રોલ કરી ના શકો. છતાં પ્રમાણિક બનીને કહું કે નિરાશા તો થાય જ છે કે ફિલૉસફી પુસ્તકોમાં સારી લાગતી હોય છે.

પશુઓ એમના જીનને જીવતા રાખવા માટે ખૂબ જહેમત ઉઠાવતા હોય છે, પણ અચેતન રૂપે. તેઓ સભાનપણે જાણતાં નથી હોતા છતાં જહેમત કરે રાખતા હોય છે, જીવ સટોસટની લડાઈ લડે રાખતા હોય છે. બસ એમના હૅપી કેમિકલ્સ સ્ત્રવે તેવું કરે રાખવું અને દુઃખ પમાડે તેવા રસાયણ સ્ત્રવે તેને અવૉઇડ કરવું. એમની પાસે પૂરતા ન્યુરૉન્સ હોતા નથી કે ભવિષ્યની કલ્પના કરે. તેઓ જાણતા હોત નથી કે એમના વગર પણ દુનિયા એક દિવસ ચાલવાની જ છે. આપણે માનવો પાસે પુષ્કળ ન્યુરૉન્સ છે,  ભવિષ્યની કલ્પના છે. આપણને આપણી મરણશીલતાનું  મહાભારે બોજરૂપ જ્ઞાન છે.

 આપણું cortex આપણાં પોતાના મૃત્યુની એક અમૂર્ત છબી ઉપજાવી શકે છે,  જે આપણા સર્વાઇવલ કેન્દ્રિત reptile બ્રેનની બહાર જઈને આપણને દિવસના જીવંત અજવાળાથી પણ ડરાવે છે. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે દ્રાક્ષ ખાટી છે છોડો, ઘણીવાર વિચારીએ છીએ કે દુનિયા ગઈ ભાડમાં આપણે શું ? અને ઘણીવાર આપણે દુનિયાને બદલી નાખીએ તેવો અહંકાર લઈને દોડીએ છીએ. દુનિયા એક વહેતો મહાસાગર છે, આપણે એને સ્થિર કરીને આપણી એક છાપ એના ઉપર મારવા ઇચ્છીએ છીએ. પણ એવું થતું નથી. આખી દુનિયા તમે બદલી શકો નહી.

પશુઓ શું કરે છે એમનો વારસો બચાવવા ? એક પછી એક પડકાર ઝીલીને પાર ઊતરે છે અચેતનરૂપે, અભાનપણે. આપણે સર્વાઇવલ માટેના પડકારો સર્જનાત્મક રીતે જીતી શકીએ. આપણે નવી નવી સર્જનાત્મક સર્વાઇવલ સ્કિલ વારસામાં મૂકી જઈ શકીએ છીએ  અને એ રીતે દુનિયા ઉપર એક સિક્કો મારી શકીએ. એક નવો વિચાર, એક નવો આદર્શ, એક નવું સંશોધન, એક નવું વિજ્ઞાન, એક નવું બીજ રોપી શકીએ. જેના ફળ આપણાં વારસદારોને ચાખવા મળે. અને એ રીતે આપણાં જેનિસ જીવતા રહે.  વૈજ્ઞાનિકોનું નવું સંશોધન કહે છે કે આપણે આપણાં અનુભવોમાંથી કેળવેલા વિશિષ્ટ ગુણ,  વિશિષ્ટ લક્ષણ,  લાક્ષણિકતા,  ખાસિયત આપણાં વારસદારોમાં જેનિસ દ્વારા મોકલી શકીએ છીએ. પશુઓ એમના જેનિસ ફેલાવવા માટે ખૂબ મથતાં હોય છે સાથે સાથે એમના જીવનના અનુભવો એમના વારસોમાં દાખલ કરતા હોય છે. આપણાં અનન્ય અનોખાં જીવનનાં અજોડ અનુભવો દ્વારા ઘડાયેલા અનુપમ જેનિસનું ફળ એટલે આપણો વારસો.

 

11 thoughts on “मा फ़लेशु कदाचन (Hard Truths About Human Nature)”

  1. સામાજિક અથવા તો વૈશ્વિક સ્તરે તો “મા ફલેષુ કદાચન” જ હંમેશાં રહ્યું છે. સમુદાયના જીવન માટે એ જરૂરી અને તમે દર્શાવ્યું છે તેમ સ્વાભાવિક પણ છે. માણસ સતત સારા જીવન તરફ જવા પ્રયત્નશીલ હોય છે. સારી પ્રતિષ્ઠા, સરૂં સ્વાસ્થ્ય, સારૂં ભોજન, પૌષ્ટિકતા, આ બધું એજ સૂચવે છે. mammalsમાં માણસ બધા કરતાં નબળો છે, પરંતુ એને મગજ મળ્યું છે.આનો ઉપયોગ કરીને મનુષ્યજાતિનો વિકાસ થયો છે. સહકાર, સમાજવ્યવસ્થા વેલફેરના ઉપાયો, સૌના વિકાસમાં મારો વિકાસ વગેર અવધારાનાઓનો ઉદ્ભવ આ જ ખ્યાલમાંથી થયો છે કે માણસ નબળૉ છે પણ મગજને સહારે જીતી શકે છે અને સૌએ આમાં ફાળો આપવાનો છે. આ સહકાર આપણી સર્વાઇવલની પહેલી શરત છે.
    બહુ સારો લેખ, બહુ સારૂં વિષ્લેષણ.” મા ફલેષુ….”નો બાયોલૉજિકલ અર્થ કદાચ પહેલી વાર પ્રગટ થાય છે.

    Like

    1. ભાઈ ઈવોલ્યુશનરી સાયકોલોજી વિષે વાંચતા વાંચતા લાગ્યુંકે આજ તો ‘માં ફલેષુ કદાચન’ છે.બધા મેમલ્સમાં માનવ નબળો છે માટે જ સામાજિક છે સાચું ને?થેન્ક્સ.

      Like

  2. શ્રી ભુપેન્દ્રસિંહજી, હવે એ કહેવાની જરૂર ખરી કે “અત્યોત્તમ લેખ” !
    વર્ષો પહેલાં રાજકુમારનું એક ચલચિત્ર આવેલું, ’કર્મયોગી’. જેના નાયકમાં પણ કર્મ કર્યા પછી કર્મફળ મળશે કે નહીં, ક્યારે મળશે, એ રાહ જોવાની ધીરજ નથી. તેને તો તુરંત ફળ મળે તેમાં જ રસ છે. ટિપિકલ હિન્દી પિક્ચર મસાલા બાદ રાખીએ તો ખરે જ વિચાર યોગ્ય કન્સેપ્ટ હતો. આપના લેખના માધ્યમે ફરી યાદ આવ્યું. બહુ સ_રસ સમજૂતી આપી છે. આપે સાચું કહ્યું કે ફળની આશા રાખ્યા વગર કર્મ કરવું અઘરૂં તો ખરૂં.
    સુંદર મજાનો લેખ. આભાર.

    Like

    1. ભાઈખુબ ખૂબ આભાર.કેટલાક કર્મોના ફળ તરત મળતા હોય છે,અને અમુક કર્મોના ફળ પાછલી પેઢી માટે રાખવા પડતા હોય છે.સાચું ને?

      Like

    2. અશોકભાઈ,
      વ્યક્તિગત કે નાના ક્ષેત્રમાં આ સિદ્ધાંત લાગુ થઈ જ ન શકે. ફળની આશા રાખ્યા વિના કઈં કામ ન જ થઈ શકે. ફળની આશા ન રાખવી એટલે સુખદુઃખ તરફ તટસ્થ થઈ જવું. વ્યક્તિના જીવનમાં આ શક્ય નથી અને આપણને અઘરૂં લાગતું હોય તો એ જ સ્વાભાવિક સ્થિતિ છે.

      આપણે પુત્ર કે પુત્રીની યોગ્યતા જોઈને બધી મદદ કરીએ અને એ યુનિવર્સિટીમાં ટૉપ પોઝીશન લઈ આવે ત્યારે પણ આપણે અબ્રાહમ લિંકન જેવો દુઃખી ચહેરો લઈને પોતાના આનંદને દબાવી દઈએ એ શક્ય નથી. ફળની આશા રહે જ. એ જ રીતે પુત્ર બહુ વાંચીવાંચીને મગજનું સમતોલપણું ખોઈ બેસે ત્યારે આપણે દુઃખી ન થઈએ?. આવી તટસ્થતા જીવનને નીરસ (અને ક્યારેક નિરર્થક) બનાવી દે છે. આપણી ફિલોસોફી આ રીતે આપણને અકારણ માનસિક સંઘર્ષમાં ઉતારી દે છે.એટલે આ સિદ્ધાંતથી વ્યક્તિગત જીવનને દૂર રાખવાથી શાંતિ મળશે.

      બીજી બાજુ, સામૂહિક જીવનમાં આ સિદ્ધાંત બરાબર લાગુ પડે છે. તમે સમાજ માટે અમુક કામ કરવા માગતા હો તો જબ્બરદસ્ત ધૈર્યની જરૂર છે. કદાચ તમારા પ્રયાસનાં ફળ ન પણ જોવા મળે.અથવા ધાર્યાં ફળ ન મળે. ભગતસિંહ, ગાંધીજી આનાં ઉદાહરણ છે. એક તો શહીદ બન્યા, બીજા પણ આઝાદી મળી ત્યારે નોઆખલીમાં ભટકતા હતા. સામાજિક ક્ષેત્રમાં માત્ર નિષ્કામ કર્મ ચાલે. આપણે માત્ર એક કાર્યનો ભાગ છીએ અને આપણે જેટલું કરશું, દુનિયા ત્યાંથી આગળ વધશે. એ ભાવરહે તો જ કામ થઈ શકે. ભૂપેન્દ્રસિંહભાઈએ આ વાત ખરેખર નવી દૄષ્ટિએ રજૂ કરી છે..

      Like

      1. શ્રી દીપકભાઈ, આપે વધુ સારી રીતે વાતની સમજ પાડી. મારૂં એક કનફ્યુઝન તો હળવું થયું. ફળની આશા રાખ્યા વગર કર્મ કરવાનું કહેવાય તો છે પણ મારા જેવાથી તેમ થતું નથી, તેથી કરીને મનનાં કોઈ ખુણે થોડી હીનતાનો ભાવ પ્રગટે છે. આ હીનતાનો ભાવ કંઈક અંશે હટ્યો.

        કર્મફળનાં સંદર્ભે વ્યક્તિગત કર્મ અને સામૂહિક કર્મ એ બે વચ્ચેનો ભેદ ટુંકમાં પણ ગળે ઉતરી જાય તેમ સમજાવ્યો. માત્ર માર્ગદર્શનની અપેક્ષાએ જ થોડું આગળ વધારૂં તો, મને લાગે છે ભલે પોતાને ફળ ચાખવા ન મળવાનું હોય પરંતુ પોતાની ભાવી પેઢીને (બાપુના શબ્દોમાં પોતાના જ જિન્સને) ફળ ચાખવા મળશે એ અપેક્ષા રાખવામાં પણ કંઈ ખોટું નહીં. સાચો ખોટો ખબર નહીં પણ આ ’કર્મણ્યે…’નો અર્થ ’ફળની આશા રહીત કર્મ’ ને બદલે ’ફળ પર અધિકાર રહીત કર્મ’ એવો થતો હોય તેમ લાગે છે. અર્થાત બીજાના વાવેલા આંબાની કેરી મને ખાવા મળી તેમ મારા વાવેલા આંબાની કેરી અન્યને પણ ખાવા મળશે. જો કે આપે સાચું જ કહ્યું કે રોજીંદા જીવનમાં આ અવ્યવહારૂ કે દુઃખદાયક બની જાય કે પછી અકર્મણ્યતાનો ભાવ આવી જાય જે પ્રગતિને અવરોધક બને. આભાર.

        Like

  3. માનવી એક સામાજિક પ્રાણી છે અને તેથી એ સામાજિક પ્રતિષ્ઠા મેળવવા ,માન, યશ અને ઉત્તમોત્તમ વ્યક્તિત્વ પ્રાપ્ત કરવા અવિરત પ્રયત્ન શીલ રહે છે. આનુવંશિકતા અને વારસો એ સ્વાભાવિક અને સહજ રીતે પ્રાપ્ત થતી બાબત છે એ આપે સરસ રીતે વૈગ્યાનિક ઢબથી
    સમ્જાવ્યુછે-આબાના દ્રષ્ટાંત વ્દારા . આપનુ વૈગ્યાનિક અને ઐતિહાસિક ગ્યાન અદ્ ભુત છે.

    Like

    1. ખૂબ ખૂબ આભાર,જોકે હવે તો કલમી આંબા દ્વારા બેપાંચ વર્ષમાં જ કેરીઓ ખાવા મળી જાય છે તે પણ આપણાં વૈજ્ઞાનિક પૂર્વજોની મહેનત જ છે ને?

      Like

  4. .
    .
    એકદમ સાચી વાત છે.

    છતાં એટ્લું તો ખરૂં કે કર્મ ની શરુઆત ફળ ની ઇચ્છાથી જ થાઇ છે, ફળની આશા વગર કોઇ કર્મ પ્રયોજાતું જ નથી. પણ જેને પહેલા ફળ જોઇતું હોય ત્યારે થોડી તકલિફ પડે. ભાગ્ય અને કર્મ એક સિક્કા ની બે બાજુ હોય છે, તેમા એક ની પસંદગી નથી હોતી, ભાગ્ય તો જ ખૂલશે જ્યારે કર્મ કરો, અને કર્મ કરશો તો જ ભગ્ય ખૂલશે. “ ઘેંટુ જેટ્લી વાર બેં બેં કરે છે, તેટલી વાર તે ઘાસ નો એક એક કોળિયો ગુમાવે છે ” તમે જેટલી વાર તમારા ભાગ્યને દોષ આપ્યા કરો કે મારી પાસે આ નથી કે તે નથી, તેવા રોદણા રોવા કરતા તેને મેળવવા મહેનત કરો. કમ સે કમ એક કોશીશ તો કરો. જો તમે જો કોશીશ કરશો તો તમે નહી તો તમારા સંતાનને તો મળશે જ.

    “ છતાં પ્રમાણિક બનીને કહું કે નિરાશા તો થાય જ છે કે ફિલોસોફી પુસ્તકોમાં સારી લાગતી હોય છે. “ બહુ સાચી વાત છે.
    .
    .

    Like

    1. નિરાશ થવા જેવું હોય ત્યારે નિરાશ થઈએ, ધાર્યું ફળ ન મળવાનું દુઃખ થાય એ તદ્દન સ્વાભાવિક છે. આવા સમયે ચોપડીનાં પાનામાં ભલે ને લખેલું હોય કે ફળની આશા ન રાખવી,

      આપણે એવું કરવાની કોશિશ કરીશું એ દંભ હશે. એમાંથી કારણ વગરનો માનસિક સંઘર્ષ અનુભવશું “અરે, ગીતામાં તો આમ કહ્યું છે અને હું ફળ ન મળવાથી દુઃખી છું, બહુ ખોટું કહેવાય!” વગેરે.

      પરંતુ, ધર્મ જીવનના વાસ્તવિક અનુભવથી જુદો ન હોઈ શકે.

      Like

  5. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
    मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥२-४७॥

    કર્મ કરી લે, કર નહીં ફલની ચિંતા તું,
    કર્મ છોડજે ના કદી, શિક્ષા આપું હું.

    એક વાત બરાબર સમજી લે કે તારો અધિકાર માત્ર કર્મ કરવાનો છે, એનું કેવું ફળ મળે તેના પર નથી. એથી ફળ મેળવવાની આશાથી કોઈ કર્મ ન કર. જો તું ફળ મેળવવા માટે કર્મ કરીશ તો તને કર્મમાં આસક્તિ થશે. એથી હે ધનંજય, કર્મની સફળતા કે નિષ્ફળતા – બંનેમાં સમાન ચિત્ત રહીને તથા કર્મના ફળની આશાથી રહિત થઈને કર્મ કર. આ રીતે કર્મ કરવાને જ યોગ કહેવામાં આવે છે. આ રીતે (ફલેચ્છાથી રહિત અને સમત્વ બુદ્ધિથી) કરાયેલ કર્મો, ફલાશાથી કરાયેલ કર્મો કરતાં અતિ ઉત્તમ છે. (એથી સમબુદ્ધિ રાખી કર્મ કરવામાં જ સાર છે.) સમબુદ્ધિથી કર્મ કરવાવાળો વ્યક્તિ કર્મથી લેપાતો નથી અને પાપ તથા પુણ્યથી પર થઈ જાય છે. એથી તું સમત્વના આ યોગમાં કુશળતા મેળવ. કર્મબંધનથી છૂટવાનો એ જ ઉપાય છે.

    Some links………..

    http://swargarohan.org/bhagavad-gita/chapter02/10.htm

    You have a right to perform your prescribed duty, but you are not entitled to the fruits of action. Never consider yourself the cause of the results of your activities, and never be attached to not doing your duty.

    http://www.ishwar.com/hinduism/holy_bhagavad_gita/chapter02.html

    Theory of karma

    http://www.free-books.us/Others/261516/Karma-No-Siddhant-Gujarati-eBoo

    આશામય કરેલા કર્મોનું ફળનું પરિણામ ફક્ત પ્રકૃતિના હાથમાં છે અને જીન્સ પણ પ્રકૃતિની ભેટ છે.

    http://kenpatel.wordpress.com/
    ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

    ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s