સ્વપ્નીલ વાનર.

સ્વપ્નીલ વાનર.

બાબા રામદેવે સ્વીસ બેંકોમાં પડેલા
કાળા નાણાં પાછાં લાવવા આંદોલન શરુ કર્યું પણ ખંધી ચાલક સરકારે એનો ફિયાસ્કો કરી
નાખ્યો.આપણે જાણીએ છીએ આ બાબાઓએ જ દેશની માનસિક બ્લ્યુ પ્રિન્ટ બગાડી મૂકી છે.કામ
વગરની ચવાઈ ગયેલી કથાઓ કરી કરીને પ્રજાની માનસિકતા કમજોર કરી નાખી છે.પણ એક ઓર
ભ્રષ્ટાચારી બાબાને સહારે છોને લોકો જાગૃત થતા.બાબા રામદેવ પોતે ૧૧,૦૦૦ કરોડ ભેગાં
કરી ચૂક્યા છે.આયુર્વેદિક દવાઓ સારી છે,આડ અસર વગરની,પણ બધે કામ લાગતી નથી.આવી
દવાઓ અને યોગનો વેપાર કરી એમણે કરોડો બનાવ્યા છે.હવે એમને નેતા બનવાની ભૂખ જાગી
છે.પોલીટીક્સ એમના બસની વાત નથી.ધાર્મિક ગુરુઓને રાજ કદાપિ ના સોંપાય.આવા ધર્માંધ
લોકોનો વિચારવાનો ટ્રેક એકજ હોય છે.બહુ આયામી વિચાર કરવો, પોલિસી ઘડવી આ લોકોનું
કામ નહિ.છતાં બ્લેક મની પાછાં લાવવા માટે એક વિચારનું બીજ એમણે રોપ્યું છે.એમના
આંદોલનને ભલે સરકારે યેનકેન પ્રકારે નિષ્ફળ બનાવ્યું પણ હવે તે આગળ વધશે.બાબા ભલે
જે હોય તે આંદોલનમાં જોડાયેલી પ્રજા તો નિર્દોષ હતી,એના ઉપર અત્યાચાર કરી સરકારે
પોતાના પગ ઉપર કુહાડો માર્યો છે.પણ આ બાબા સ્ત્રીઓનો  પંજાબી ડ્રેસ પહેરી ભાગ્યા
હશે તો એમની દાઢી મૂછ ક્યાં છુપાવી હશે?

ઓશો રજનીશ તે સમયે
ધાર્મિક ભ્રષ્ટાચારની ખૂબ ટીકા કરતા અને એમાં અળખામણા બની ગયેલા.કોઈને છોડતા
નહિ.સેક્સ સપ્રેસ્ડ ભારતમાં સેક્સ વિષે વૈજ્ઞાનિક વાતો કરનારા રજનીશને લોકોએ ખૂબ
ભાંડી નાખેલા.બદનામ કરી મૂકેલા.રજનીશને તે સમયનું ભારત ઓળખી શક્યું નહોતું,પણ આજે
યુવાન મિત્રોને એમની વાતો કરતા સાંભળી આનંદ થાય છે કે હવેના વર્ષો રજનીશના છે.રજનીશ
તેમના સમય કરતા હજાર વર્ષ આગળ જીવતા હતા,કારણ ભારત તે સમયે બાકીની દુનિયા કરતા
સેંકડો વર્ષ પાછળ જીવતું હતું.ઓશો વિચારોના એટલાં બધા બીજ રોપીને ગયા છે કે ના પૂછો
વાત.એ બધા ધીરે  ધીરે વૃક્ષ બની ફાલવાના છે.

ઘણા મિત્રો ફેસબુક ઉપર કહે છે કે હવે હિંસક આંદોલન થવું જોઈએ.હું પણ
માનું છુકે ફ્રાન્સમાં જે હિંસક ક્રાંતિ થઈ હતી તેવી હાલ જરૂર છે,ચાર
ભ્રષ્ટાચારીઓના માથા જુદા પાડી દો બાકીના ફફડી જશે,પણ હિંસક આંદોલનો ભારત માટે
યોગ્ય નથી.એના માટે પૂરતું આયોજન,હથિયાર,શિસ્ત અને લોહી આપવાની તૈયારી જોઈએ.લોહી
જોઈ ચક્કર ના આવે તેવી માનસિકતા જોઈએ.આપણે હિંસક છીએ પણ ટોળામાં એકલાં નહિ.આપણે કોઈ
નાનકડા તાલીમબદ્ધ જૂથ સામે પણ લડવા સક્ષમ નથી.આપણે અંદરોઅંદર હિંસક છીએ,આપણે ધર્મ
માટે હિંસક છીએ.આપણે પોતાના ભાઈઓ માટે હિંસક છીએ.જુઓ મુઠ્ઠીભર અંગ્રેજો સામે હિંસક
બની લડી શક્યા નથી,અને ભાગલા પડ્યા કે બોર્ડર ઉપર અંદરોઅંદર લડીને આશરે ૧૦ લાખ લોકો
કપાઈ મર્યા.આ દસ લાખ લોકો અંગ્રેજો સામે લડીને મર્યા હોત તો દેશની તાસીર આજે જુદી
હોત કે નહિ??જુદી હોત કે નહિ???એક કૂકડું કાપી શકવાની ક્ષમતા હોય નહિ અને હિંસક
આંદોલન કરવાની વાતો કરવી નકામી છે.

લોકશાહીમાં યથા
પ્રજા તથા રાજા કે નેતા વાંચો.કૂવામાં હોય તો હવાડામાં આવે.પ્રજા ભ્રષ્ટ હોય તો
નેતાઓ ક્યાંથી સ્વસ્થ હોવાના?પ્રજા કમજોર હોય તો નેતાઓ ક્યાંથી બહાદુર હોવાના?પહેલા
પ્રજાએ જ સુધરવું પડશે.ખોપરીના કોર્ટેક્સની અંદર થયેલું ભ્રષ્ટાચાર નૉર્મલ છે તેવું
વાયરિંગ સભાનપણે બદલવું પડશે.લગભગ બધી નકામી પરિસ્થિતિ કદાપિ ના બદલી શકાય તેવી જ
લાગતી હોય છે.એટલે બધું સ્વીકારીલો તેવી કમજોર મનોદશા બધા રાખશે તો પરિવર્તનની આશા
કઈ રીતે રાખવી?જુઓ મુસ્લિમ અને બ્રિટીશ ભેગાં થઈને આપણે આશરે હાજર વર્ષ ગુલામ રહ્યા
તો હજાર વર્ષનો ગાળો તો બહુ લાંબો કહેવાય ને?ગુલામી નિવારી શકાય તેવી હતી?હજાર
વર્ષમાં  જિન્સમાં સમાઈ ગયેલી,હજુયે નીકળતી નથી.ભારતે સ્વીકારી લીધેલું કે ગુલામી
જન્મથી મળેલી જ છે.કેટલીયે પેઢીઓએ તો વિચાર્યું જ નહિ હોય કે ગુલામી સિવાય પણ કશું
સ્વતંત્રતા જેવું હોય છે અને એમને એમ જીવન વિતાવી ચાલી ગઈ હશે.૧૮૫૭મા એક પ્રયત્ન
કર્યો કે લડીને અંગ્રેજોને ભગાડી મૂકીએ.પછી ભૂલી ગયા. છતાં પાડ માનો પેલી બ્રિટીશ
મહિલાનો જેણે હોમરૂલ લીગની સ્થાપના કરી અને આપણું પોતાનું રાજ હોવું જોઈએ તેવું
વિચારનું એક બીજ ફરી રોપ્યું અને ગાંધીજીએ એને વૃક્ષ બનાવ્યું.આપણને તો વિચાર પણ ના
આવે તેવી માનસિકતા ઘડીને બેસી ગયા છીએ,આજે પણ તે જ હાલત છે.બધી પરિસ્થિતિ સ્વીકારી
લેવાની આપણી ક્ષમતા અસીમ છે.

લાખો વર્ષ પહેલા પૃથ્વી ઉપર વાનરો હતા.તેઓ કહેતા આપણે ઉભા થઈ ચાલી શકીએ
નહિ,આપણે કદી સાધનો વાપરી શકીએ નહિ,આપણે કદી વાતો કરી શકીએ નહિ,ત્યારે એક વાનરે
કહ્યું વેલ!હું હાલ વાત કરી શકું છું,એ વાનર સ્વપ્નીલ હતું,એક ડ્રીમર હતું.૫૦૦ વર્ષ
પાછળ જાઓ,રાઇટ બ્રધર્સ ફલાઈગ મશીનમાં બેસી ઉંડવા માંગતા હતા.અરે મૂરખ!અરે ડફોળ તારો
શું પ્રૉબ્લેમ છે?બધા બુમો પાડતા હતા કે પ્લાયવૂડ હવા કરતા ભારે હોય છે.શું રાઇટ
બ્રધર્સે એમને રિસ્પૉન્સ આપ્યો?ના!કેમ કે રાઇટ બ્રધર્સ Dreamers  હતા.વિન્સેન્ટ વેન
ગોગ તેઓ ફક્ત એક કાન ધરાવતા હતા,લોકો કહેતા તું ક્યારે સારો ચિત્રકાર બની નહિ
શકે,વેન ગોગે જવાબ આપ્યો.શું બોલ્યા?હું તમને સાંભળી શકતો નથી.વેન ગોગ સ્વપ્ન
સેવવાના આદતી હતા.લુઇસ પેશ્ચર ચીઝને દવામાં બદલી નાખી.બેન્જામીન ફ્રેન્કલીન,લોકો
કહેતા તમે વરસાદી વાવાઝોડામાં પતંગ ચગાવી શકો નહિ.બેન્જામીન કહેતા કેમ નહિ?હા જો
તમારી પાસે ઇલેક્ટ્રિક પતંગ હોય તો ચગાવી શકો.ચીન એક ધાર્મિક અફીણી હતું.લોકો આલસ્ય
શિરોમણિ હતા.અંગ્રેજોએ વેચેલું અફીણ ખાઈ સુસ્ત પડી રહેતા હતા.દસ હજાર વર્ષ જૂની
પવિત્ર ભગવાન મનાતી પરમ્પરાગત રાજાશાહીને પૂજનારા હતા.માઓ આવ્યા એક
સ્વપ્નસેવી.ધર્મોએ ભલે માનવોને પશુમાંથી મનુષ્ય બનાવ્યા,પણ વખત જતા ઍક્સ્પાયરી ડેટ
પૂરી થતા દવા પોતે ઝેર બની જતી હોય છે.આજે ધર્મો એક ઝેર બની ચૂક્યા છે ત્યારે માઓ
રીલીજન ઈઝ પોઈઝન કહી ચીનને ઝકઝોળે છે,જગાડે છે.એક સ્વપ્નસેવીની જ્યાદતીએ આજે ચીન
અમેરિકા પછી બીજા નંબરે ઉભું છે.

10 thoughts on “સ્વપ્નીલ વાનર.”

  1. ” જુઓ મુઠ્ઠીભર અંગ્રેજો સામે હિંસક
    બની લડી શક્યા નથી,અને ભાગલા પડ્યા કે બોર્ડર ઉપર અંદરોઅંદર લડીને આશરે ૧૦ લાખ લોકો
    કપાઈ મર્યા.આ દસ લાખ લોકો અંગ્રેજો સામે લડીને મર્યા હોત તો દેશની તાસીર આજે જુદી
    હોત કે નહિ??જુદી હોત કે નહિ???એક કૂકડું કાપી શકવાની ક્ષમતા હોય નહિ અને હિંસક
    આંદોલન કરવાની વાતો કરવી નકામી છે. ”
    આ તો અંતરે થી ભડકેલી આગ છે….લેખકના આ શબ્દોમા આગ ભરેલી છે..!

    Like

  2. નેતા પહેલાં તો એમ કહે કે મને મૃત્યુનો ડર નથી અને પછી પોલીસ આવે ત્યારે ભાગી જાય અને કહે કે છુપાઈ ન જાત તો મને મારી નાખ્યો હોત!
    હું નથી માનતો કે આવા નેતાઓથી જનતામાં જાગૃતિ આવે.અણ્ણા હઝારેની વાત જુદી છે. એ માણસ પાસે પોતાની કઈં મિલક્ત નથી અને મંદિરમાં રહે છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ આખું જીવન સંઘર્ષ કરતા રહ્યા. અહીં તો બાબા રામદેવ આયુર્વેદિક દવાઓના મોટા ઉદ્યોગપતિ છે. દેશમાં આટલું બધું કરપ્શન છે અને ઉદ્બયોગ જગતમાં તો બહુ જ છે. નીરા રાડિયાની ટેપો પછી તો જાહેર થયું છે કે ઉદ્યોગપતિઓ પોતાના મનગમતા માણસને મંત્રી બનાવવા માટે કેટલું દબાણ કરે છે.ામ છતાં સરકારે જે કર્યું તે પણ નિંદનીય છે.આ રસ્તો નથી, આ રીત નથી.

    Like

  3. Bravo!!!!
    Khari Himmat kari ne lakhelu chhe. Dil ni aag ni jwala Zapato mari ne fuki rahi chhe.
    Hakikat chhe hakikat.. loko ne jagva ni jaroor chhe.

    Rajao na time ma “Ransinga” vagadata.. have aava jordar lekho evu j kam kari shake..

    Best article. Gave you 5 star.

    Like

  4. આદરણીય ભૂપેન્દ્રસિંહજી,
    વધુ એક આંખો ઉઘાડનારો અને સ્પષ્ટ લેખ.

    બાબા રામદેવ ના વ્યાવસાયીક કે રાજકીય આશય વિશે ઘણા લોકો એ ચર્ચા કરી. ચોક્કસ તેનો કોઇ આશય હોય શકે. ૧૧૦૦૦ કરોડ જેવી વિપૂલ સંપતિ પણ છે જ. બધું સાચું. આપના બ્લોગ પર થોડુંક હટકે વિચારવા વાળા લોકો આવે છે એટલે અમુક વાતો જે મારે લખવી છે તે અહિં લખું છું.

    આ દેશ માનસિક રીતે પણ વિકલાંગ બન્યો હોય એવો ઘાટ ઘડાયો છે. ગાંધી કે અન્ના હઝારે સાદગીપૂર્ણ જીવન જીવતા હોય અને સત્યાગ્રહ કરે તો આપણે વધાવીએ છીએ. પણ એવું જ કામ કોઇ કરોડપતી કરે તો તરતજ શંકાની નજરે જોવા લાગીએ છીએ. બાબા રામદેવ પાસે કરોડો ની સંપતિ છે અને એ જે કરે છે એ ચાલુ રાખે તો હજુ વધવાનીજ છે. તેને ક્યાં જરૂર હતી આ ઉડતી ઉપાધી માથે લેવાની? કાળુ નાણું જે વિદેશો મા પડ્યું છે તે શું રામદેવ નાં અંગત ઉપયોગ માં આવવાનું છે ? કહેવાતા બુદ્ધિજીવીઓ આ સીધો તર્ક ભુલી ને રામદેવ ને સાણસા માં લેવાનાં પ્રયત્નો માં લાગી પડ્યા છે. તેનો રાજનૈતીક કે વ્યાવસાયીક આશય પાછળ થી પણ જોઇ શકાય છે. ચર્ચાઓ ટિકાઓ કરવા માટે જીંદગી પડીજ છે પણ આ બુદ્ધિનાં બળદીયા અત્યારે જે દેશહિત નું કાર્ય છે તેમાં જોડાવા ને બદલે વખોડવા માં પડ્યા છે. સરકાર તો કરે કારણ કે આ બધું ખુલ્લું પડતાં રેલો સરકાર ના તળીયે જ આવવાનો છે. પણ બુદ્ધિજીવીઓ ની ટીકા મને સમજાતી નથી. અહિં બાબા રામદેવ ને કોઇ ક્લિનચીટ આપવાની વાત નથી પરંતુ વ્યક્તિ વિશેષ મહાન નથી અહિં મુદ્દો મહત્વની વાત છે. જો આવીજ લડત પવાર જેવો ભ્રષ્ટ માણસ પણ નો નિષ્ઠાપૂર્વક દેશહિત માં લડતો હોય તો દેશ ના નાગરિક તરીકે તેને ટેકો આપવો એ આપણી ફ઼રજ બને છે. રામદેવ કે કામદેવ કે સોમદેવ મેટર નથી કરતા.

    હિંસક લડાઇ એક ઉપાય છે. જરૂરી નથી કે હર એક વ્યક્તિ હાથ માં હથીયાર લઈ ને ઘર બહાર નીકળી જાય પણ આ આંધળી અને બહેરી નપાવટ નપુંસક હલકટ વિગેરે વિગેરે પ્રકાર ની સરકાર ના જુલ્મો ની હવે તો હદ્દ થાય છે. પવાર રાજા જેવા કૌભાંડીઓ ને કડક સજા કરે અથવા કોઇ માથાફ઼રેલ “ગોડસે” ફ઼રી પાકે અને સરજાહેર ગોળીએ દે તો કદાચ બીજા આવી હિમ્મત ના કરે.

    આખું વાયરીંગ બદલવું એ એક રાત નો ખેલ નથી. સમય લાગશે. તમારા મારા જેવા લોકો પ્રયત્નો કર્યા કરશે. આજે ૧૦ લોકો બદલશે. કાલે ૧૦૦ થશે. વાવવું તો રહ્યું જ. ક્યારે ઉગશે ખબર નથી.

    Like

  5. રજનીશ ને સેક્સ ગુરુ તરીકે નાહક ના બદનામ કરી મુક્યા હતા. ખરેખર તો અત્યારે રજનીશ જેવા આધ્યાત્મિક ગુરુની જરૂર વધારે છે.

    Like

  6. આદરણીય શ્રી ભુપેન્દ્રસીહજી,
    આપે આજના બનાવો પર ખુબ વિશદ ચર્ચા થાય છે તે પર એક ખુબ સુંદર
    લેખ લખ્યો છે તે બદલ ધન્યવાદ આપે જણાવ્યા પ્રમાણે ધાર્મિક નેતાને
    દેશનું સુકાન ના સોપાય તે તદ્દન સાચી વાત છે. ઈરાનમાં આય્તોલ્લાહ
    ખોમેની સતા પર આવ્યા જુઓ કેવી બરબાદી કરી નાખી આપના પાડોશી
    દેશોમાં ધાર્મિક વ્યવસ્થા પર આધારિત સરકાર ચાલે છે જુઓ ત્યાની પ્રજાની
    હાલત કેવી છે. ધર્મસતાપર બેસતા રાજકીય મ્હ્ત્વકાક્ષા સંતોષવા પ્રજાને
    ઉશ્કેરે છે.અને અણસમજુ પ્રજા હાહો કરી મુકે છે.
    ” નથી દીઠી ભૂખ જીવનમાં અને એ ભૂખ પર બોલે
    આચરે અનીતિ ભર્યું જીવન અને એ નીતિ પર બોલે
    સતા લક્ષ્મી ને નારી જોઈ જેના નયન ચકળ વકળ ડોલે
    એ વ્યાસ પીઠ પરથી પાછા ધર્મ પર બોલે.”

    Like

  7. ભુપેન્દ્રસિંહ, લેખ સરસ છે. જાણવાનું પણ ઘણું મળ્યું.
    મારી સમજ પ્રમાણે લોકશાહી માં યોગીય મુદ્દા માટે જનમત કેળવી
    કાયદો અને લોકશાહી ના માળખા માં રહી ફેરફાર કરવા વ્યાજબી લાગે છે.
    ભ્ર્સ્તાચારી નેતાઓ એ અનીતિ થી વિદેશ મોકલેલું ધન પરત લાવવા માં
    રામદેવ બાબા ને સફળતા મળે તો સારું.

    હિંસક અંદોલન ની વાત:
    ન્યાયશાશ્ત્ર માં નું એક કથન જેવું યાદ આવે છે.
    “૧૦૦ દોશી છૂટી જાય તો ચાલે પણ એક પણ નિર્દોષ ને સજા ના થવી જોઈએ”
    હિંસક ક્રાંતિ સાચો ન્યાય આપીશકે?

    ઓશો રજનીશ તેમની વાણી અને વિચારો માં સમય કરતા ૧૦૦૦ વર્ષ આગળ હતા.
    વાસ્તવિકતા તો જે સમયે પ્રજા જે ને સ્વીકારે તેનેજ માંનીયતા અને સ્વીવ્કૃતિ મળે છે. આઝાદી ની લડત માં સુભાષ ચંદ્ર બોઝ, મંગલ પાંડે, ખુદીરામ બોઝ અને બીજા અનેક ઉદ્દામવાદી લડાયક નેતાઓએ હિંસાનો રસ્તો લીધેલો તેમ છતાં ગાંધીજી લોકમત અને આમ જનો ની સ્વીવ્કૃતિ મેલ્વીશ્ક્યા.

    Like

  8. અરે વાહ ! મેં લખી નાંખ્યું પછી આપના લેખ તરફ ધ્યાન ગયું, નહીં તો મારે મહેનત બચત !!
    આપના આ લેખમાં શું ગમ્યું તેની માંડીશ તો આખો લેખ કોપિ-પેસ્ટ કરવો પડશે ! એ કરતાં એટલું જ કહું કે:
    બહુ સ_રસ લેખ ! વાંચીને મારા જેવો એકાદ વાનર સ્વપ્નીલ બનવા પ્રેરાય તો પણ ઘણું !

    Like

    1. ભાઈ બાબા આજકાલ ચર્ચામાં છે એટલે લખી નાખ્યું.ન્યુ પોસ્ટમાં જઈને મૂકી દીધેલ અને પબ્લીશ પર ક્લિક કરવા જતો હતો અને સામે એક કોમેડી ઈંગ્લીશ મુવી ચાલતું હતું તેમાં ડ્રીમર ની વાત આવી.બહુ હૃદય સ્પર્શી વાત હતી.મેં ફરી લખીને આ લેખમાં ઉમેરી દીધું.ભ્રષ્ટાચાર વિહોણું ભારત એવું ડ્રીમ આપણે સૌકોઈ જોઈએ બીજું શું?આભાર.

      Like

Leave a comment