ખંડનમહારાજ.

અમારા મોટાભાઈ શ્રી હરીશચંદ્રસિંહજીએ મારું નામ ખંડનમહારાજ પાડ્યું છે.તેઓ નાના હશે ત્યારે કોઈ ખડેશ્વરી મહારાજના દર્શન કરવા ગયેલા.એ મહારાજ ઉભા જ રહેતા બેસતા નહિ.માટે લોકો એમને ખડેશ્વરી મહારાજ કહેતા.એમના જણાવ્યા પ્રમાણે ખડેશ્વરી એક ખાડો ખોદી અંદર ઉભા રહેલા.હવે ઊંઘ આવે તો ગબડી જવાય અને તપોભંગ થઇ જાય માટે ખાડો એક વૃક્ષ નીચે ખોદેલો અને તે વૃક્ષની મજબુત ડાળ સાથે એક દોરડું બાંધી એક પાટિયું લટકાવેલ તે પાટીયા ઉપર માથું ટેકવી ઉભા ઉભા રાતની નીંદર અને બપોરની નેપ ખેંચી લેતા જે ધ્યાનમાં ખપી જતી હશે.સતત ઉભા રહેલા હોવાથી પગ એમના સૂજીને થાંભલા જેવા થઇ ગયેલા.હવે સહન નહિ થયું હોય તે એક દિવસ રાત્રે મહારાજ છૂમંતર થઇ ગયેલા.ફરી દેખાયા નહિ.મોટાભાઈશ્રી મારા સદનસીબે મારા વિચારોથી પરિચિત છે.નેટ પર તો વાચતા નથી પણ મારું પુસ્તક સંતાડીને વાંચતા હશે.એમના કહ્યા પ્રમાણે મારી વાતો લગભગ ખંડનાત્મક હોય છે માટે તેઓ પ્યારથી મને ખંડનમહારાજ કહે છે.અમને બધા ભાઈઓને અતિશય વાંચવાની બીમારી છે.એનો ત્રાસ વાચકમિત્રોને હવે સહન કરવાનો આવ્યો છે.

મોટાભાઈના  સર્કલમાં એક નવી હવા એવી ચાલી છે કે કુબેર ભંડારીના મંદિરે પાંચ અમાસ ભરવાથી મનોકામના પૂર્ણ થાય,એવી અફવા ફેલાવાઈ છે એ બહાને મંદિરની આવકમાં વધારો થાય તેવી કોઈ યોજના ટ્રસ્ટીઓની હશે.હવે ૨૯ દિવસ શંકર લિંગ બહાર રહેતા હશે ખાલી અમાસના દિવસે અંદર પ્રવેશી જતા હશે.ખેર ભક્તોની ભીડ અને મંદિરની આવકમાં વધારો થતો જાય છે.મનોકામનાઓ તો અનંત છે એકાદ એમજ મહેનત કરવાથી કે રૂટીન મુજબ પૂરી થતી હોય એટલે પત્યું.ભાઈના મિત્રની દીકરીને દીકરો જન્મ્યો તો કહે પેલી પાંચ અમાસ ભરવાથી આવું સારું બન્યું.ભાઈએ સવાલ કર્યો કે દીકરીને ગર્ભ તો તમે અમાસ ભરવાની શરુ કરેલી તે પહેલાનો રહેલો છે અને ગર્ભમાં નક્કી થઇ જાય કે દીકરો છે કે દીકરી.પેલા મિત્ર પાસે એનો કોઈ જવાબ હતો નહિ.

ભાઈએ હસવાની એક વાત એવી કરી કે એક બહુ ચર્ચિત બાપુ હમેશાં પ્રવચન આપે ત્યારે આત્મા અમર છે અને નિર્ભય બનો તેવી વાતો કરતા હોય છે.એમના સાબરમતી તીરે આવેલા આશ્રમની અંદર એમના પ્રવચન સ્થળે બુલેટપ્રૂફ કાચની કેબીનમાં બેસીને આત્માની અમરતાની અને નિર્ભયતાની સલાહ આપતા હોય છે.તાંત્રિક ગતીવિધીઓમાં ગવાઈ ગયેલા આ બાપુ એમની મોંઘી એવી કારમાં ડ્રાઈવરની બાજુમાં જ બેસતા હોય છે અને પાછળ ત્રણ સિક્યોરીટીના ગાર્ડ હથિયાર સમેત બેસતા હોય છે.હાલ આ બુલેટપ્રૂફ કાચનું કેબીન બાપુની યાદમાં ઝૂરી રહ્યું છે.છ સાત વર્ષ પહેલા ભાઈના એક મિત્ર જેમનો પોતાનો મેડીકલ સ્ટોર છે તેમના ઘરે એક સંપ્રદાયના ગાદીપતિની પધરામણી હતી.અતિશય સમૃદ્ધ એવા આ પંથના મૂળ સ્થાપક તો બ્રહ્મચારી હતા.અને ઉત્તરપ્રદેશથી એમના ભાઈઓના દીકરાઓને ગાદીપતિ તરીકે સ્થાપી દીધા અને એમના વંશજો માટે રોટલાની વ્યવસ્થા કાયમની કરી નાખી.આજે નવમી પેઢી જલસા કરે છે વગર મહેનતે.સાતમી પેઢીના આ ગાદીપતિને પાણીનો ગ્લાસ ધરવામાં આવ્યો જેમાંથી એક ઘૂંટ ભરી પાછો આપ્યો,એ એઠું પાણી પીવા માટે  તે પ્યાલાનો કબજો લેવા પડાપડી થઇ ગઈ.

ગાંધીનગરમાં ગેરકાયદેસર મંદિરોનો રાફડો ફાટી નીકળેલો.મોદી સરકારે આવા ગેરકાયદે મંદિરો તોડવાનું શરુ કરેલું.એક મંદિરનું ઉદઘાટન તો કોઈ પ્રધાને જ કરેલું.મંદિર તોડવાનું શરુ થાય તે પહેલા પુજારી કે માલિક પૈસાની પેટી લઇ રવાના,સાઈબાબાની મૂર્તિઓની ચિંતા કર્યા વગર પુજારી ભાગી ગયો.આવી ઉભી કરેલી ઘણી બધી દુકાનો તોડી પડાયા પછી ધર્માંધ નેતાઓની ધાર્મિક લાગણી દુભાઈ અને સરકારે એની ગઝની પ્રવૃત્તિ બંધ કરી.

ભાઈ સોમનાથ મહાદેવ ગયેલા.એટલે મને કહે કે ત્યાં વાચેલું કે નવ વખત સોમનાથ મહાદેવનું લિંગ અને મંદિર તોડી પડાયેલું.મેં કહ્યું સાચી વાત છે.વધારામાં ગઝનીએ તે લિંગને એના મહેલના પગથીયે ચણી નાખેલું જેથી એના ઉપર ચાલી શકાય અને જેટલું થાય તેટલું અપમાન કરી શકાય.તો ભાઈનો સવાલ આવ્યો કે આ લિંગ તો સ્વયંભુ જ્યોતિર્લિંગ છે તે જો ગઝની તોડી ગયો હોય તો આજે છે તે કઈ રીતે સ્વયંભુ કહેવાય?

અમારા ભાઈશ્રી આવી બધી વાતોનો મસાલો પુરો પાડી જતા રહ્યા સ્નાન કરવા અને હવે હું લખીશ તો મને કહેવાના ખંડન મહારાજને ખંડન કરવા સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ નથી.

22 thoughts on “ખંડનમહારાજ.”

  1. ખડેશ્ર્વરી ઉપરથી ખંડનમહારાજ રાખ્યું એ બરોબર છે પણ ખ ઉપરનું મીંડુ કાઢી ખડનમહારાજ કે ડંખનમહારાજ પણ રાખી શકાય.

    Like

  2. “અમને બધા ભાઈઓને અતિશય વાંચવાની બીમારી છે.એનો ત્રાસ વાચકમિત્રોને હવે સહન કરવાનો આવ્યો છે.”

    અમને સૌને જો એ રોગ ન હોત તો અમે તમારા વાચકમિત્રો બન્યા ન હોત.

    શંકરાચાર્યે મંડન મિશ્રની દલીલોનું ખંડન કર્યું તેથી તો તેઓ જીત્યા.

    લિ. સર્વખંડન તતૂડી દેસાઈ

    Like

    1. સર્વ ખંડન તતુડી દેસાઈને નમસ્કાર.આપ સૌના સહકારથી આજે શંકરાચાર્ય અને મંડનમિશ્ર બંને જોડે ટકરાઈ જવાની હિંમત આવી છે.

      Like

  3. જય ખંડન મહારાજ કી, આ ખંડનમહારાજના જેવી વાંચવાની બીમારી થોડી હતી એ આપના ત્રાસથી હવે વધી છે. આવો ત્રાસ તો સારો ગણાય. ખંડન મહારજનો ફોટો સારો છે.

    Like

    1. જય હો જય.ફોટો મોકલવા બદલ એક પરમ મિત્રનો આભાર માનવાનો છે.તેઓએ સારી એવી મહેનત કરી બનાવ્યો છે.ખંડન મહારાજ થોડા ત્રાસવાદી પણ ખરા.જોકે એમનો ત્રાસ સમાજ અને દેશના લાભ માટે છે.અસલી ત્રાસવાદીઓ માટે ઝોખમી છે.આભાર.

      Like

  4. આદરણીય શ્રી ભુપેન્દ્રસિંહ

    પહેલા ગુરુઓ પાસેથી શિષ્યોને નામ મળતું. આપને વડીલબંધુ તરફથી

    ખંડન મહારાજ ઉપનામ મળ્યું એટલે વડીલ આપના ગુરુ થયા.

    ગુરુ દક્ષિણા ચૂકવી કે કેમ ? બસ મઝા આવી લેખ ગમ્યો અને આપનો ગમ્મત ગુલાલ

    Like

    1. મારા વડીલ બંધુ વળી મને ગુરુ માનતા હોય છે,એ એમની મહાનતા છે.મેં એમનું નામ ફ્લેક્સિબલ મહારાજ પાડ્યું છે.અમે ભાઈઓ ખૂબ સારા મિત્રો પણ છીએ.

      Like

  5. વાહ વાહ ખંડન મહારાજ ! ઘણૂં જીવો અને રોજ રોજ નવા નવા ખંડન કરતા રહો કારણ સંપૂર્ણ ખંડન નહિ થાય ત્યાં સુધી નવ સર્જન પણ નહિ થાય ! ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખંડન કરતા રહેવા આપને વધુ અને વધુ સામર્થ્ય પ્રાપ્ત થાય અને સફળતા મળે તે માટે !
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

    1. આપના આશીર્વાદ છે તો ખંડન પ્રવૃત્તિ ચાલુ જ રહેવાની છે.આપનો સ્નેહ છે તે મારા માટે એક એનર્જી ડ્રીંક જેવો છે.આપનો ખૂબ ખૂબ આભાર.

      Like

  6. ખંડન મહારાજ, જય બ્લોગેશ્વર. હવે વડોદરે પધરામણી ક્યારે કરવાના છો?

    Like

  7. bapu…tamari comment mara FB par post kari chhe..Moraribapu na asmita=parv ma loko ae Bakshi na chinthra udadya..ne mara thi no rehvanu…Jay vasavada sathe dalilo thay..shu thay bakshi prem ochho nathi thato…

    Like

  8. તદ્દન સાચી વાત છે, આવા ધુતારા મહારાજોથી સમાજને જે નુકસાન થાય છે, તે તો આપણા આદરણિય માનનીય નેતાઓ અને અભિનેતાઓથી પણ નથી થતું. પણ પેઢીની સ્થાપના કરવાનું તો આપણા ભારતીય લોહીમાં છે. જેમ પેલા સંન્યાસી મહારાજે ઉત્તર પ્રદેશથી પોતાના ભાઈઓને બોલાવી તેમને પોતાની પેઢી સોપી, તેમ આપણા પપૂધધુ શ્રી જીતેન્દ્ર બાપુએ તેમના પુત્ર તુષાર દાસજીને, પપૂધધૂ ૧૦૦૦૮ મહામંડલેશ્વર શ્રી શ્રી શ્રી અમિતાભેશ્વરજી એ તેમની ગાદી ૧૦૮ શ્રી અભિષેકાનંદજીને, મહાત્મા જવાહરેશ્વરજીની આજે ચોથી પેઢી પણ ૬૦ વર્ષથી ભારતની ગાદી સંભાળે જ છે ને? અને આ બધા સાધુઓ કરતાં પણ અનેક ગણું નાણું તેમની પેઢીઓ એકઠું કરી રહી છે, તે પ્રથાઓનું પણ ખંડન આ ખંડનમહારાજ કરશે કે?

    Like

    1. ભાઈઓના સંતાનો કે પોતાના સંતાનોને ગાદી સોપી મફતમાં મહેનત વગર રોટલા,ઓટલા અને ગાદલાંની વ્યવસ્થા થઇ જતી હોય છે,અને અભિનેતાઓ જે પોતાના સંતાનોને એમની દુનિયામાં લાગવગના જોરે ખેંચી લાવે છે તેમાં એક ફેર એવો છે કે આ સંતાનોને મહેનત કરવી પડે છે,અભિનયનું નુર બતાવવું પડે છે.બાકી ફેઈલ જાય છે.બધા સફળ થતા નથી.તુષારભાઇ જીતુભાઈ જેટલા સફળ નથી.અભી પૂરી શેકનું પણ એવું જ છે.એમની રોટલી પૂરી શેકાતી નથી.જયારે રોશનમાં ઉંધુ થયું છે.રાકેશ કરતા ઋત્વિકની રોટલી વધારે ચડી ને ફૂલી ગઈ છે.જવાહરેશ્વરજીના વાય ક્રોમોજોમ આગળ વધ્યા નથી.જે ચાલે છે તે ફિરોજ ગાંધીના ચાલે છે માર્કેટમાં.આપણે બધા મુરખાઓ છીએ ત્યાં સુધી આવું પેઢી રાજ ચાલવાનું જ છે.અહી નેતા,અભિનેતા અને સાધુઓનું રાજ ચાલે છે.લોકો એમની પાછળ પાગલ છે ત્યાં સુધી આમ ચાલવાનું જ છે.જુના લેખો વાંચો અમે કોઈને બક્ષતા જ નથી.

      Like

  9. શંકરાચાર્ય , મંડનમિશ્રની દલિલોનુ ખંડન કરીને જીતી શક્યા કારણકે એમના સમયમા
    આચાર્યો અને અન્ધશ્રદ્ધાનુ પ્રમાણ અને વર્ચસ્વ સવિશેષ હતુ, આધુનિક સમયમા વિરોધ
    અને ખંડન વધારે પ્રમાણમા થાયછે છતા તેઓ જીતી નથી શકતા ઉલટાના વિરોધ અને
    ખંડન કરનાર ગમે તેટલા સાચા અને મજબૂત હોવાછતા યેનકેન પ્રકારે તેમને પછાડીને

    ફેકી દેવામા આવેછે.મને લાગેછે કે મજબૂત અને સચોટ ખંડનદળની સ્થાપના થવી જોઇએ
    જેથી અન્ધશ્રદ્ધાના મૂળને ફૂટવાજ ના દે.ખોટી વસ્તુ કે બાબતનો વિરોધ થવોજ જોઇએ.આપના
    ખંડનાત્મક વિચારો સાથે હુ સમ્પૂર્ણ સહમત છુ અને સમર્થન આપુછુ. આ પ્રતિભાવ વાચીને મને
    કોઇ ખંડેશ્વરી માતાતો નહી કહેને?

    Like

    1. ખંડન દળની રચના કરીશું તો આપને એના પ્રેસિડેન્ટ બનાવી દઈશું.દશામાને થોડા વર્ષો પહેલા કોઈ ઓળખાતું પણ નહોતું.હવે ગણપતિની હારોહાર ચાલવા લાગ્યા છે.એમ ખંડેશ્વરી માતા પણ ચાલી જાય,આતો ભારત છે ભાઈ અહી બધું ચાલી જાય.ખંડેશ્વરી માતાની જય હો!!!

      Like

Leave a comment