ડાર્વિન સામે બોલાય નહી ? બોલાય. કેમ ના બોલાય ?

Aside

th=-ડાર્વિન સામે બોલાય નહી ? બોલાય. કેમ ના બોલાય ?

ઘણાં મિત્રોની માનસિકતા ઉત્ક્રાંતિમાં માનવા જ તૈયાર હોતી નથી. ઉત્ક્રાંતિ તો હરપળે ચાલું જ હોય છે પણ આપણને દેખાતી નથી. આપણે મહામાનવો અને ક્ષુદ્ર વાનર આપણો પૂર્વજ કઈ રીતે હોઈ શકે ? જે મનુષ્યોએ ભવ્ય ગ્રંથો તૈયાર કર્યા હોય, વેદોની રચના કરી હોય, ખગોળનું અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, શૂન્યનું સર્જન કર્યું હોય, ગણિત અને ભાષાની રચના કરી હોય સૂર્ય અને ચન્દ્રગ્રહણની સચોટ આગાહી કરી હોય એ મનુષ્ય શું વાનરનો વંશજ હોઈ શકે ? આપણાં મનમાં આવા અનેક સવાલો ઊઠતા હોય છે. એવું લાગતું હોય છે કે માનવી કોઈ સ્વર્ગ જેવા ઉપગ્રહમાંથી અહીં ભૂલો પડી ગયો હશે. એનું વિમાન બગડ્યું હશે અને કમનસીબે અહીં પૃથ્વી ઉપર રોકાઈ જવું પડ્યું હશે.

ઉત્ક્રાંતિનો પ્રોસિજર ખૂબ ધીમો હોય છે. ઘણાં મિત્રોના મનમાં અનેક સવાલો ઊઠતાં હોય છે. સવાલો ઊઠવા જ જોઈએ એનાં વગર જ્ઞાન આગળ કઈ રીતે વધે ? વાનરમાંથી ઉક્રાંતિ થઈ માનવ બન્યો એટલે દર વખતે જરૂરી ના હોય કે દરેક માનવ વાનરમાંથી પેદા થાય. આપણે એવું વિચારીએ કે હવે વાનર રહેવા જ ના જોઈએ બધા માનવ બની જાય તેવું પણ ના બને. કરોડો અબજો વર્ષે ધીમે ધીમે જીવો વિકસતા હોય છે. પુંછડીવાળા વાનરોમાંથી કશું બન્યું હશે કોઈ જિનેટિક ફેરફાર મ્યુટેશન થયું હશે કે એક વાનર પ્રજાતિમાંથી જરા જુદી જાતનો પૂંછડી વગરનો વાનર પેદા થયો હશે, એટલે જરૂરી નથી કે દરેક વખતે અને દરેક વાનર પેટાજાતિમાંથી પૂંછડી વગરના વાનરો પેદા થવા જ જોઈએ.

એક સાદો દાખલો આપુ તો સમજવામાં સરળ રહેશે. જૂનાગઢના નવાબના અંગત બગીચામાં ‘જમાદાર’ નામની કેરીનો એક આંબો હતો. એકવાર એની એક ડાળી ઉપર જરા જુદી જાતની કેરી બેઠી હતી. નવાબે એ ડાળ ઉપરની તમામ કેરીઓ જુદી તારવવાનો હુકમ આપ્યો. કેરી બહુ સરસ મીઠી હતી, એની સોડમ પણ અલગ જ હતી. કોઈ કુદરતી મ્યુટેશન થયું હોવું જોઈએ. એ કેરીના ગોટલા ભેગાં કરી ફરી વાવીને એની જાત ફેલાવવામાં આવી તે આજની જગમશહૂર ‘કેસર’ કેરી. હવે દર વખતે ‘જમાદાર’ કેરીમાંથી જ કેસર પેદા કરવી થોડી પડે ? અને જમાદાર કેરી તો રહી જ અને કેસર નવી બની. વાનર તો રહ્યો જ અને એમાંથી માનવ મળ્યો. હવે જરૂરી નથી કે જમાદાર કેરીના તમામ ગુણ કેસરમાં જોઈએ જ. વાનર ચાર માળ પલકમાં ચડી જાય, ઝાડ ઉપર કુદકા મારે તો માનવે જરૂરી નથી વાનરવેડા કરવા જ પડે, કરતા હોય છે તે વાત જુદી છે.

thCAEH5X03માનવ એવરેસ્ટ ચડે છે વાનરો નથી ચડતા. કૂતરાં કરતાં ચિમ્પૅન્ઝી પાસે ત્રણ ગણું મોટું બ્રેન છે અને ચિમ્પૅન્ઝી કરતાં માનવ પાસે ત્રણ ગણું મોટું બ્રેન છે. માનવ પ્લેન શોધે છે વાનરો નહી ભલે એક અગાસી ઉપરથી બીજી અગાસી પર હવાઈપ્રવાસ કરતાં કૂદી જતાં હોય. હવે આપણે અગાસીઓ કૂદવા જઈએ તો પ્લેન ક્યારે શોધીશું ?

એક બુદ્ધિશાળી મિત્રના મનમાં સવાલ ઊઠ્યો કે સર્પમાંથી કે હાથીમાંથી કેમ મનુષ્યો પેદા ના થયા ? એમને અહીં દેખાયું નહી કે ઉત્ક્રાંતિને કારણે સર્પ જેવાં જીવોમાંથી સસ્તન પ્રાણીઓ પેદા થયાં અને એમાંથી જ ઉત્ક્રાંતિ થઈને વાનર જેવાં બુદ્ધિશાળી પ્રાણી પેદા થયાં. સર્પ અને માનવ વચ્ચે અગણિત કડીઓ પેદા થઈ એને જ તો ઉક્રાંતિ કહેવાય. સર્પમાંથી જ માનવ પેદા થયો છે પણ સર્પ અને માનવ વચ્ચેની અસંખ્ય કડીઓ જોવાની દરકાર આપણે કરતાં નથી. સર્પમાંથી સીધો માનવી પેદા થાય તો ઉત્ક્રાંતિ ના કહેવાય. બ્રેન પણ જુઓ હજુ આપણી પાસે સર્પનું બ્રેન પણ છે અને આદિમ પ્રાણીઓનું આદિમ મૅમલ બ્રેન પણ છે. આપણે રેપ્ટાઇલ બ્રેન ઉપર મૅમલ બ્રેન એની ઉપર કૉર્ટેક્સ ધરાવીએ છીએ.

મધર નેચરની કરામત જુઓ નવી જાત પેદા કરે છે પણ જુની જાત સાથે સાથે જાળવી રાખે છે. ઉત્ક્રાંતિ વાનરમાંથી માનવ પેદા કરે પણ વાનરનો નાશ નથી કરતી. એક બાપના બે દીકરા હોય એક જરા જુદી જાતનો ખોડીલો પેદા થાય અને એક એના બાપ જેવો અદ્દલ હોય. હવે બાપ જેવા અદ્દલ દીકરાની જાત પણ કુદરત જાળવી રાખે અને પેલાં ખોડીલાંની જાત પણ આગળ વધે. હવે આ ખોડીલો આગળ જતાં વિશિષ્ટ પ્રકારનો ગણાય એવું માનવમાં સમજવું. બાપ જેવો અદ્દલ એટલે ચિમ્પૅન્ઝી ગણો.. અને ખોડીલો દીકરો માનવ સમજો. ૬-૮ મિલ્યન વર્ષ પહેલાં આ પૃથ્વી ઉપર પૂંછડી વગરના એપ્સ નો દબદબો હતો. મોટાભાગની નાશ પામી ગઈ. ફક્ત ચાર-પાંચ જ બચી છે. ગરિલા(Gorilla), ગિબન(Gibbon), ઉરાંગઉટાંગ અને ચિમ્પૅન્ઝી-બોનોબો, ચિમ્પૅન્ઝી અને બોનોબો કાકા-બાપાના ભાઈઓ જેવાં છે. પાંચમી કે છઠ્ઠી ગણો તો આપણે મહામાનવો. આપણે નસીબદાર છિયે કે આમાંની એક ગિબન આપણાં આસામના જંગલોમાં છે.

૬૦ લાખ વર્ષ જુનું એક ફોસિલ મળ્યું છે, એનો અભ્યાસ કરતાં જણાયું કે કોઈ જિનેટિક ખોડ આવતાં એ પ્રાણી બીજાં પ્રાણીઓની જેમ ચાર પગે ચાલવા અસમર્થ બન્યું તે આજના માનવીનો પૂર્વજ હતું. ઉત્ક્રાંતિએ કોઈ પ્રાણી બે પગે ચાલે તેની ભવિષ્યની યોજના રૂપે સંપૂર્ણ ચાર પગે ચાલતા વાનરો કરતાં ચિમ્પૅન્ઝી જેવાં પ્રાણીઓને નકલ વૉકિન્ગ કરતાં કરી દીધાં જ હતાં. ચિમ્પૅન્ઝી જેવાં પ્રાણીઓ આગળના બે પગ બીજાં પ્રાણીઓ જેવા નથી મૂકતા અને થોડો સમય બે પગે ઊભા થઈને પણ ચાલે છે.

૩૦ લાખ વર્ષ જુનું લુસી નામનું ફોસિલ મળ્યું છે જે અર્ધ માનવી અર્ધ વાનર છે. આ ઉત્ક્રાંતિ જ છે. પણ જે જાતો ફિટ અને ફ્લેક્સિબલ રહેતી નથી તેનો નાશ પણ થઈ જાય. એવી તો કેટલીય જાતો સંપૂર્ણ નાશ પામી જ છે. લુસી જેવી જાત આજે જોવા ના પણ મળે. મળેલા ફોસિલ આધારે વૈજ્ઞાનિકોનું માનવું છે કે જુદી જુદી જાતની ચાર જાત માનવોની આ પૃથ્વી ઉપર હતી. જે કદાચ જુદી જુદી જાતના વાનરોમાંથી ઉત્ક્રાંતિ પામી હશે. એમાંથી નિએન્ડરથલ તો ઉત્તર ગોળાર્ધના કાતિલ ઠંડા હવામાનમાં જીવવા ટેવાએલા હતાં. જર્મનીની એક ખીણમાંથી ૩૦૦ હાડપિંજર મળ્યાં છે એને નિએન્ડરથલ વેલી કહે છે. પણ હવે નિએન્ડરથલ માનવી રહ્યા નથી.

મહકાય મેમથ હાથીઓ આજે રહ્યા નથી પણ એના પૂરાવા છે જ, તેમ બકરી જેવડા હાથીઓના ફોસિલ પણ મળ્યા છે. વેંતિયા માનવીની વાર્તાઓ ખોટી નથી. ઇન્ડોનેશિયામાંથી એક બાળકનું મનાતું ફોસિલ મળ્યું જે પુખ્ત ઉંમરની સ્ત્રીનું નીકળ્યું હતું. મોટામસ ડાયનોસોર તો નાશ પામી ગયા પણ નાના ડાયનોસોર અને હાલના પક્ષીઓની વચ્ચેની કડીરૂપ પાંખો વિકસી હોય તેવાં ડાયનોસોરના ફોસિલ પણ મળ્યાં જ છે. અમુક મૂરખો ઉત્ક્રાંતિના આ જ પુરાવાઓનો ઉત્ક્રાંતિ ખોટી છે તેવું સાબિત કરવા કરતા હોય છે ત્યારે ખૂબ હસવું આવે છે.

આ વિજ્ઞાન જગતમાં તમે કોઈ થીઅરી મૂકો તો લાખ સાબિતીઓ આપવી પડતી હોય છે. આઈનસ્ટાઈન એક સમીકરણ વિજ્ઞાન જગત આગળ મૂકે તો હજારો વૈજ્ઞાનિકો એને ખોટું પાડવા ખાઈખપુચીને એની પાછળ પડી જતાં હોય છે. એકલાં હિટલરે હજાર-પંદરસો વૈજ્ઞાનિકો આઈનસ્ટાઈનને ખોટો પાડવા રોકેલા જ હતા. પણ વિજ્ઞાન જગત એ બાબતે પ્રમાણિક હોય છે. એ લોકોનું કશું વળ્યું નહી, ત્યારે આઈનસ્ટાઈન બોલ્યા હતા કે મારો સિદ્ધાંત ખોટો હોત તો એને ખોટો પાડવા એક જ વૈજ્ઞાનિક કાફી હોત.

ડાર્વિન સામે બોલાય નહી ? બોલાય. કેમ ના બોલાય ? કોઈ બોલ્યું નહી હોય તેવું માનો છો ? આ કોઈ બાવાઓનું જગત છે કે બાવાજી એ કહ્યું એટલે માની લીધું ? જા બચ્ચા સૂરજદાદા કો એક લોટા જળ ચડા દેના મેરા વચન હૈ તેરા કલ્યાણ હો જાવેગા, તાળીઓ પાડી બાવાજીના ગંદા ચરણે પડી મનમાં ખુશ થતાં ભાઈ ચાલી નીકળ્યા કે હવે તો એક લોટા ટાંકીના પાણીને બદલે આખું રાજપાટ મળી જવાનું. અરે ! મૂરખ તારા લાખો પેસિફિક અને કરોડો હિંદ મહાસાગર એક પલમાં સૂરજદાદા આગળ બાષ્પ બની જાય તેની નજીક જાય તો. ગરમ વસ્તુ ઠંડી પાડવા આપણે એના ઉપર પાણી રેડીએ છીએ, દાઝી જવાય તો એના પર પાણી રેડીએ એમ બાવાજીના મનમાં સૂર્યને એક લોટા જળમાં ઠંડા પાડી દેવાય તેવું હશે.

પ્રૉબ્લેમ એ છે કે આપણે કહેવાતા ધર્મના જગતમાં એના ઠેકેદારોના મૂર્ખામી ભર્યા ફતવાઓ સામે બોલી શકતા નથી એટલે લાગે કે વિજ્ઞાન જગતમાં ડાર્વિન કે આઈનસ્ટાઈન જેવા લોકો સામે કોઈ બોલતું નહી હોય કે બોલ્યું નહી હોય. ડાર્વિન એની થીઅરી બહાર મૂકતાં ગભરાતો હતો. ચર્ચ તો સામે ઊભું જ હતું પણ બીજા વૈજ્ઞાનિકો પણ એને ખોટી પાડવા તૈયાર ઉભા હતાં. વૈજ્ઞાનિકોના ગળા રહેંસી નાખવા ચર્ચ જાણીતું હતું એ તમને ક્યાં ખબર છે ? બાવાજી બૂટી સુંઘાડે અને લોકો માની જાય તેવું વિજ્ઞાનવિશ્વમાં હોતું નથી. આપણા જેવા બાલિશ નહી પણ નક્કર સવાલો લઈને બીજા વૈજ્ઞાનિકો ઊભા હોય છે. ડાર્વિને તૂત ચલાવ્યું હોત તો વૈજ્ઞાનિકોએ ક્યારનું ફેંકી દીધું હોત.

અરબો દ્વારા આપણું ગણિત પશ્ચિમ પહોચ્યું ત્યારે ૧૩મી સદીમાં ચર્ચે શેતાનનું કામ છે કહી બૅન કરી દીધેલું. અરબસ્તાનમાં પહેલીવાર ટેલિફોનના તારનું જોડાણ કરવામાં આવ્યું ત્યારે મુલ્લાઓએ ધર્મ વિરુદ્ધ છે કહી જોરદાર વિરોધ કરેલો. હવે પયગંબરના સમયમાં ટેલિફોન હતા પણ નહી કે એની વિરુદ્ધ કશું લખ્યું હોય. સુલતાન ઇબ્ન સઉદને સરસ મજાની યુક્તિ સૂઝી. તેમણે ટેલિફોન પર કુરાનના પાઠનું વાંચન ચાલુ કરાવ્યું અને એક જાહેરસભા બોલાવીને પ્રચાર કર્યો કે જે વ્યવસ્થા કુરાનનો પાક સંદેશો લોકો સુધી પહોંચાડતી હોય તે ધર્મ વિરુદ્ધ ગણી શકાય નહી.

પ્રાચીન હિંદુ મનીષીઓ પાસે ઉત્ક્રાંતિની સમજ હતી. એમણે પ્રતીક રૂપે જે અવતારોની કલ્પના કરી છે તેમાં ઇવલૂશનની સમજ ભારોભાર દેખાય છે. સમુદ્રમાં જીવન શરૂ થયું છે માટે પાલનહાર પ્રતીક વિષ્ણું સમુદ્રમાં વિરાજમાન છે. પ્રથમ ભગવાન માછલી હતા તેવું ઉત્ક્રાંતિની સમજ વગર ના કહી શકો. પહેલો વ્યવસ્થિત સજીવ માછલી છે માટે મત્સ્યાવતાર છે. બીજો વ્યવસ્થિત સજીવ કાચબો લાગ્યો તો કૂર્માવતાર ગણ્યો. ડાયનોસોર જોયા નહી કારણ કરોડો વર્ષો પહેલાં નાશ પામી ગયાં હતાં બાકી એનો પણ કોઈ અવતાર જરૂર હોત. પછી સસ્તન પ્રાણી વરાહ આવ્યું, અર્ધપશું અર્ધ માનવી નૃસિંહ અવતાર થયો. એ ભારતીય બુદ્ધિશાળી મહાપુરુષોના બ્રેનમાં સિમૅન્ટિક(Semantic memory) અને પ્રોસિજરલ(Procedural memory) મેમરી કાયમ હતી માટે આવી અવતારોની કલ્પના કરનાર ભારતીય ડાર્વિનદાદા ને નમસ્કાર.

આપણને જે ઉંમરે ચડ્ડી પહેરતાં નહોતી આવડતી તે ઉંમરે આપણા પૌત્ર-પૌત્રી આઇફોન રમે છે અને કમ્પ્યૂટર ફેરવે છે તેમાં ઉત્ક્રાંતિ કેમ દેખાતી નથી ? સેન્ટિમીટર કે મિલીમિટરના હજારમાં ભાગ જેટલા ગણો, આ કમ્પ્યૂટર સાથે રમતાં બાળકોનાં બ્રેન આપણાં કરતાં જરૂર મોટા હશે.

ઉત્ક્રાંતિનો લાખો વર્ષનો અત્યંત ધીમો પ્રોસિજર આપણી ૬૦-૭૦ વર્ષની જીંદગીમાં જોવાની આશા રાખવી મૂર્ખામી છે અને તે જોવા ના મળે તો એને ખોટી કહેશો તો ઉત્ક્રાંતિ ક્યાં બંધ થઈ જવાની છે ?

સંસદ ભવનમાં આપણા આદરણીય પ્રતિનિધિઓ જે વ્યવહાર કરે છે તે જોઈને નથી લાગતું કે ખરેખર આપણે વાનરના વંશજ છિયે ? હાહાહાહાહાહા ! !

About these ads

રાત્રિનું અંતિમ કાર્ય (ધ્યાન)

Aside

100445824_288ebe0950[1] રાત્રિનું અંતિમ કાર્ય (ધ્યાન)

 એકવાર પાર્વતીએ શંકરને જગતના રહસ્ય વિશે સામટાં ચારપાંચ સવાલો પૂછી નાખ્યાં. શિવજીએ કોઈ પણ જાતની ફિલૉસફી ઝાડ્યા વગર શરૂ કર્યું કે અંદર જતા શ્વાસ પછી અને બહાર આવતાં શ્વાસ પહેલાં જે પૉઇન્ટ આવે ત્યાં સ્થિત થઈ જાવ, અથવા બે શ્વાસ વચ્ચે સ્થિત થઈ જાવ, આ તો મારી ભાષામાં કહું છું, બાકી શંકરે તો સંસ્કૃત કે પ્રાચીન સંસ્કૃતમાં કહ્યું હશે. આમ એક પછી એક રસ્તા બતાવતા જ ગયા, નો ફિલૉસફી. આવી કહેવાય છે ૧૦૮ વિધિઓ બતાવી.

અમદાવાદથી વડોદરા જવું છે તો પહેલાં અમદાવાદની બહાર તો નીકળો ? પછી નારોલ ચોકડીથી સાઉથમાં જવા માંડો. પાલડી ચારરસ્તા થી વી.એસ. હૉસ્પિટલ જવું છે ? તો તમારી સુંદર મુખમુદ્રા કંઈ દિશામાં રાખી ઊભા છો તે કહો પહેલાં. સરદાર બ્રિજ બાજુ મુખ રાખી ઊભા હોય તો ડાબી બાજુ ચાલવા માંડો અને જોધપુર ટેકરા બાજુ તમારું પવિત્ર મુખ રાખી ઊભા હોય તો જમણી બાજુ ચાલવા માંડો. આમાં ક્યાં કોઈ ગ્રીક કે ઉપનિષદની ફિલૉસફીની જરૂર છે ? ભાઈ મેં તો રસ્તો બતાવ્યો ચાલવાનું તમારે છે. ચાલવા માંડશો તો આજે નહી તો કાલે જરૂર વી.એસ. પહોંચી જવાશે પણ ઊભા ઊભા તત્ત્વજ્ઞાન ડહોળવા બેસી જઈશું તો કદી નહી પહોચાય.

પહેલી નવ વિધિઓ શ્વાસ ઉપર હતી. ભગવાન બુદ્ધે આ શ્વાસ ઉપરની વિધિઓનો ખૂબ ઉપયોગ કરેલો. અનાપાનસતિ અને વિપશ્યનાનો મુખ્ય આધાર આ વિધિઓ છે. શિવે કહેલી ધ્યાન કરવાની, મેડિટેશન કરવાની આ પદ્ધતિને કોઈ ધર્મના લેબલ મારવાની જરૂર છે નહી. આ તો શુદ્ધ બ્રેન કસરત છે. બૃફેન, કોમ્બિફ્લેમ કે વિક્સ વૅપરબ ઉપર લખેલું નથી હોતું કે આ કોઈ ક્રિસ્ચને શોધેલી દવા છે માટે કોઈ હિંદુ કે મુસલમાને ઉપયોગ કરવી નહી. હા ! એને શોધવાની મથામણ કે બનાવવાની કિંમત જરૂર વસૂલ કરવામાં આવે છે. કે સુદર્શન ચૂર્ણ ઉપર સિક્કો નથી મારેલો હોતો કે આ ચરકે શોધેલી ફૉર્મ્યુલા છે જેને કોઈ બીજા ધર્મ પાળનારે ફાકવું નહી. જ્ઞાનને ધર્મના લેબલની શું જરૂર ?

સૂફી ફકીરોનું દરવેશ નૃત્ય પણ ધ્યાન કરવાની એક પદ્ધતિ છે. તારવાળા વાદ્ય વગાડવામાં પણ મેડિટેશન છુપાયેલું છે. બૌદ્ધ સાધુઓએ માઈન્ડ્ફૂલનેસ મેડિટેશન આખી દુનિયામાં ફેલાવી દીધું છે. મૂળ આ પદ્ધતિ બતાવનારા શંકર તો ખોવાઈ ગયા બુદ્ધ ફેમસ થઈ ગયા, અરે બુદ્ધ મૂળ ભારતના હતા તેવી પણ દુનિયાના ઘણાં લોકોને ખબર નથી. જો કે શંકરને એની કશી પડી નથી કારણ શંકર માટે બુદ્ધ અને શંકરમાં કોઈ ફરક નથી. લે ! હું યે ફિલૉસફી ઠોકવા માંડ્યો ?

મૂળ વાત મારે એ કહેવી છે કે હાલ મેડિટેશન ઉપર ખૂબ સંશોધન ચાલી રહ્યું છે. ન્યુઅરૉલજિસ્ટ આની ઉપર ખૂબ સંશોધન કરી રહ્યાં છે. રોજનું ફક્ત ૧૫-૩૦ મિનિટનું ધ્યાન બહુ મોટો ફરક પાડવા સક્ષમ બની શકે છે કે તમારો જિંદગી વિશેનો આખો અપ્રોચ બદલાઈ જાય, તમારું કરુણાનું ખાબોચિયું મહાસમુદ્ર્માં પલટાઈ શકે. વસ્તુઓ કે બનાવોને અંગત રીતે મૂલવવાનો તમારો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય. પણ આ બધું કઈ રીતે બને?

ચાલો આપણાં સાઇકાયટ્રિસ્ટ અને ન્યુઅરૉલોજિસ્ટ મહાનુભવોને સાઈબાબાના ફોટા ઉપર હાર ચડાવવાનાં મહત્વનાં કામમાં મગન રહેવા દઈએ. હું મારી અલ્પમતિ સમજાવવા ટ્રાય કરૂ.

ધ્યાન કઈ રીતે બ્રેન ચેઇન્જ કરે છે તે જોવા થોડી ટેકનિકલ વાતો સમજવી પડશે. બ્રેનના થોડા વિભાગોની ઉપરછલ્લી માહિતી ચાલી જશે. આપણે ક્યાં બ્રેન સર્જરી કરવી છે?

* Lateral prefrontal cortex: બ્રેનનો આ વિભાગ વસ્તુઓ કે બનાવોને તર્કયુક્ત, રેશનલ અને બેલેન્સેડ (સંતુલિત) લેવા માટે પ્રેરતો હોય છે. આને Assessment Center પણ કહે છે. બ્રેનના ફિઅર સેન્ટર તરફથી આવતી લાગણીઓ નિયંત્રિત કરી સૌમ્ય બનાવે છે. ઑટ્મૅટિક બિહેવ્યર અને ટેવો ઉપર કાબૂ રાખવાનું કામ કરે છે. બ્રેનના Me Center નું નિયમન કરી વસ્તુ કે બનાવોને પર્સનલ લેવાનું વલણ ઓછું કરે છે.

* Medial prefrontal cortex:- આ વિભાગ તમારા અનુભવો અને યથાર્થદર્શનના સંદર્ભ સતત તમને પાછાં સૂચવવાનું કામ કરતો હોય છે. ઘણા લોકો આને બ્રેનનું “Me Center” કહેતા હોય છે કારણ તે આપણી પોતાને સંબંધિત માહિતીનું પ્રોસેસિંગ કર્યા કરતું હોય છે. ખાસ તો જ્યારે આપણે ખૂલી આંખે સપનાં જોતા હોઈએ, ભવિષ્ય માટે કોઈ યોજના બનાવીએ, સામાજિક સંબંધો વિષે વિચારીએ, કોઈ બીજાના મનમાં કોઈ બીજા વિષે શું ચાલી રહ્યું હશે તેની ધારણા બાંધીએ, ત્યારે આપણાં જુના અનુભવોની માહિતીનું મૂલ્યાંકન કરીને આપણને સંદર્ભસૂચી પુરી પાડતું હોય છે. એટલાં માટે આને Self-Referencing Center પણ કહેતાં હોય છે.

રસપ્રદ બાબત એ છે કે Medial PreFrontal Cortex (mPFC) વિભાગના પણ બે ભાગ હોય છે.

* Ventromedial medial prefrontal cortex (vmPFC) – આપણાં અને આપણી માન્યતા અનુસાર આપણાં જેવી સમકક્ષ વ્યક્તિઓ વિષેની માહિતીનું પ્રોસેસિંગ આ ભાગ કરતો હોય છે. કોઈપણ બાબતને વધુ પડતું અંગત લઈ લેવાનું વલણ અહીં રચાતું હોય છે. એટલે વૈજ્ઞાનિકો આને  unhelpful aspect of the Self-Referencing Center કહેતા હોય છે. આમ તો આ વિભાગના કામ મહત્વનાં હોય છે. પણ વધુ પડતી ઊંડી વિચારણા કરાવી આ વિભાગ અસ્વસ્થ બનાવી ખિન્નતા અને માનસિક ઉદાસીનતા વધારતો હોવાથી એને અનહેલ્પફુલ કહેવામાં આવે છે.

* Dorsomedial Prefrontal Cortex (dmPFC) – આ વિભાગ આપણી માન્યતા મુજબ આપણાં સરીખાં ના હોય તેવી વ્યક્તિઓ વિષે માહિતીનું પ્રોસેસિંગ કરતો હોય છે. આ વિભાગ ખૂબ મહત્વનો છે. આપણે માનતા હોઈએ કે આ વ્યક્તિઓ આપણાં જેવી સિમિલર નથી તેમના પ્રત્યે સહભાવ, સહાનુભૂતિ અને તાદાત્મ્યની લાગણી સાથે આ વિભાગ સામેલ થતો હોય છે, અને એવા લોકો સાથે સમાજિક જોડાણ વધારવામાં ચાવીરૂપ બનતો હોય છે.

* Insula: બ્રેનનો આ ભાગ bodily sensations મૉનિટર કરવાનું કામ કરતો હોય છે. શારીરિક સંવેદનાઓ પ્રત્યે તમે કેવો પ્રતિભાવ આપો છો તે વિશે દિશા સૂચન કરે છે. કે સંવેદના સંકટ સૂચક છે કે હિતકારક ? હિંમત ટકી રહેવાની શક્તિ અને સહજ પ્રેરણા માટે પણ આ વિભાગ સંલગ્ન હોય છે.

* Amygdala: ‘ખતરે કી ઘંટી’, સંકટ સમયે અલાર્મ વગાડવાનું કામ આ વિભાગ કરતો હોય છે. માટે આને “Fear Center” પણ કહેતા હોય છે. જોખમ સમયે “fight-or-flight” response આપવાનું મહત્વનું કામ આ વિભાગનું છે.

ધ્યાન કરતાં ના હોય ત્યારે બની શકે કે Me Center સાથે Insula અને ફિઅર સેન્ટરનું ન્યુઅરલ જોડાણ વધુ મજબૂત હોય. મતલબ તમે ચિંતાતુર બનો કે ભયની લાગણી અનુભવો કે શારીરિક સંવેદના જેવી કે ઝણઝણાટ, ખંજવાળ કે પેએન અનુભવો ત્યારે તમે ધારી લેવાના કે પ્રૉબ્લેમ તમારા સાથે કે તમારી સલામતી સાથે છે. આવું સચોટપણે લાગે કારણ મી-સેન્ટર ઢગલાબંધ માહિતીનું પ્રોસેસિંગ કરતું હોય છે. આપણે એકના એક વિચારોમાં સ્ટક થઈ જતાં હોઈએ છીએ. આપણે કોઈ ભૂલ કરી. લોકો શું વિચારશે? માથું દુખ્યું, કેમ દુખ્યું, પહેલાં પણ દુખેલું, કશું સીરિઅસ તો નહી હોય ને? એકમાંથી બીજા અને ત્રીજા એમ વિચારોનું ચક્કર ચાલતું જવાનું. બ્રેનનાં Assessment Center’s અને Me Center વચ્ચેનું નબળું કનેક્શન વ્યર્થ અતિશય ચિંતાતુર બનાવી રાખવા કારણભૂત બનતું હોય છે. જો અસેસ્મન્ટ સેન્ટર એની ઊંચી ક્ષમતા મુજબ કામ કરતું હોય તો બ્રેનના vmPFC (the part that takes things personally) વિભાગની વધારે પડતી કામગીરી સારી રીતે નિયંત્રિત કરે છે અને બ્રેનના dmPFC (the part involved in understanding other’s thoughts and feelings) વિભાગની કામગીરીમાં વધારો કરે છે. પરિણામ સ્વરૂપ મી-સેન્ટર જે ભૂલભરેલી માહિતી તરફ વધુ ધ્યાન આપતું હોય છે તે કોરે મૂકી સમતોલ રીતે વિચારવાનું વધુ બનવા લાગે છે. મતલબ ઓવર-થિંકિંગ અને એકની એક વાત વાગોળવાની ક્રિયા ઓછી થવા લાગે છે જે કરવા માટે મી-સેન્ટર વધુ પ્રખ્યાત હોય છે.

ધ્યાન કરવાનું નિયમિત શરૂ થાય એટલે ઘણી બધી હકારાત્મક બાબતો બનવા લાગતી હોય છે. પહેલું તો મી-સેન્ટરના unhelpful vmPFC વિભાગ અને bodily sensation/fear centers વચ્ચેના મજબૂત જોડાણ તૂટવા લાગે છે. એટલે શારીરિક સંવેદનાઓ અને ક્ષણિક ભય વખતે આપણી સાથે બહુ મોટો પ્રૉબ્લેમ ઊભો થઈ ગયો છે તેવું માનવાનું ઓછું થતું જતું હોય છે. જેમ જેમ મેડિટેશન કરતાં જાવ તેમ તેમ અસ્વસ્થતા(ઍંગ્ઝાયટિ) ઓછી થવા લાગે તેનું કારણ તમને અસ્વસ્થ કરી મૂકતી મી-સેન્ટરની સંવેદનાઓ સાથે જોડાયેલા ન્યુઅરલ રસ્તા ઓછા થતા જતા હોય છે. આપણે કારણ વગરની સંવેદનાઓની ઉપેક્ષા કરવાનું શીખી જતા હોઈએ છીએ. અથવા એવું પણ કહી શકાય કે ખરેખર જેના માટે સંવેદના જાગે છે તે ઓળખી શકાય છે અને એનો વધુ પડતો પ્રતિસાદ આપવાનું ઓછું થતું જાય છે. મતલબ સંવેદનાની સાચી ઓળખ છતી થાય છે.

બીજું  Assessment Center અને bodily sensation/fear centers વચ્ચે તંદુરસ્ત જોડાણ વધતું જાય છે. એટલે જ્યારે તમને કોઈ શારીરિક પીડા કે સંવેદના થાય કે કોઈ સંકટ  ઉભુ થાય ત્યારે તમે ઑટ્મૅટિકલી રિએક્ટ કરવાને બદલે તમે એને વધુ રેશનલ લેવા ટેવાતા જાવ છો. ટૂંકમાં તમે બધી રીતે સમતોલ વિચારતા થતા બનતા જાવ છો. મેડિટેશન કરતા બોનસમાં મી-સેન્ટરના હેલ્પફુલ વિભાગ (dorsomedial prefrontal cortex – the part involved in processing information related to people we perceive as being not like us ) અને bodily sensation center – involved in empathy વચ્ચે મજબૂત જોડાણ વધતું જાય છે. તમે બીજા લોકોની ઇચ્છાઓ, સપનાં અને વિચારો વધુ સમજતા થઈ જતા હોય છો. આમ ધ્યાન તમને વધુ ને વધુ કરુણાવાન બનાવતું જાય છે. ટૂંકમાં તમે તમામ લોકો પ્રત્યે દયાળુ અને કરુણાવાન બની શકતા હોય છો. હવે બુદ્ધ અને મહાવીરની માનસિકતા સમજવી વધુ સરળ લાગશે કે કેમ આ લોકો દુનિયાના તમામ લોકો પ્રત્યે કરુણા ધરવતા હતાં.

આમ ધ્યાન બ્રેનના અસેસ્મન્ટ સેન્ટરને મજબૂત બનાવે છે. મી-સેન્ટરના અનહેલ્પફુલ ભાગ જે વસ્તુઓને અંગત લેવા ટેવાએલ છે તેને નબળું બનાવે છે, મી-સેન્ટરના હેલ્પફુલ ભાગ જે સહાનુભૂતિ સાથે સંકળાએલ છે તેને મજબૂત બનાવે છે, શારીરિક સંવેદનાઓ અને ભય-ડર-દહેશત વગેરેને સાચી રીતે મૂલવવાનું શીખવે છે. “સંકટ સત્ય છે પણ એમાં ભયભીત થઈ જવું તમારી પસંદગી છે.”

ધ્યાન આપણને આપણી બાજુબાજુના તમામ લોકોને સ્વચ્છ અભિગમ વડે જોતાં શીખવે છે. ધીમે ધીમે આપણે શાંત અને શાંત થતા જતા હોઈએ છીએ..

પણ બ્રેનને જુના રસ્તે પાછાં જવાનું સરળ લાગતું હોય છે. સર્વાઇવલના જુના બનાવેલા ન્યુઅરલ રસ્તા વધુ અનુકૂળ લાગતા હોય છે. માટે ધ્યાન રોજ કરવું જોઈએ. ૧૫ મિનિટ તો ૧૫ મિનિટ પણ રોજ કરવું જોઈએ જેથી નવા ન્યુઅરલ રસ્તા એકદમ મજબૂત બની જાય, નવાં ન્યુઅરલ જોડાણ મજબૂત બની જાય. માટે બુદ્ધ રાતની સભા પૂરી કરીને આદેશ આપતા રાત્રિનું અંતિમ કાર્ય પૂરુ કરી સૂઈ જાવ. એ અંતિમ કાર્ય ધ્યાન કરવાનું રહેતું. સાધુઓ અને સમજદારો ધ્યાન કરવા જતા પણ સમાન્યજન સંભોગમાં રત થઈ જાય અને ચોર ચોરી કરવા જાય એમાં બુદ્ધનો શું વાંક ?

સોમનાથ મંદિર સૌથી વધુ વખત તોડાયેલું અને ફરી ફરી બંધાયેલું

Standard

Somnathtempledawnસોમનાથ મંદિર સૌથી વધુ વખત તોડાયેલું અને ફરી ફરી બંધાયેલું…
સૌરાષ્ટ્રના વેરાવળ નજીક પ્રભાસ ક્ષેત્રમાં વસેલું સોમનાથ મંદિર કદાચ દુનિયાનું પહેલું એવું મંદિર હશે જે સૌથી વધુ વખત તોડાયું છે અને ફરીફરી બંધાયેલું છે. આશરે સોળેક વખત તોડાયું હશે. છેલ્લે ૧૯૪૭મા સરદાર વલ્લભભાઈ પટેલે એને ફરી બાંધવાનો નિર્ણય લીધો, એમના મૃત્યુ પછી ક.મા. મુનશીની દેખરેખ નીચે બાંધકામ ચાલુ રહ્યું.
આમ તો શિવલિંગ સૃજનનું પ્રતીક છે. આ સર્જન અને વિસર્જન પ્રક્રિયાનો કોઈ આરંભ કે અંત હોય નહિ. પુરાણોની વાર્તાઓ પ્રતીકાત્મક હોય છે. સોમનાથ સાથે એવા ૧૨ જ્યોતિર્લિંગ ભારતમાં છે. બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે પ્રકાશનો એક સ્તંભ ઊભો થઈ ગયેલો અને એના આદિ અને અંત પામવા બંને નીકળી પડેલા એવી પ્રતીકાત્મક વાર્તા છે. સોમનાથ વિષે એક બીજી વાર્તા ચંદ્રની છે. ચંદ્ર દક્ષ પ્રજાપિતાની ૨૭ દીકરીઓ સાથે પરણેલો હોય છે, પણ ફક્ત રોહિણીને મહત્વ આપતો હોય છે. દક્ષ એને શ્રાપ આપે છે તેનું નિવારણ કરવા પ્રભાસ ખાતે શિવલિંગની સ્થાપના કરી શિવની ભક્તિ કરી શ્રાપમુક્તિ મેળવે છે. ચંદ્ર સોમનાથનું સોનાનું મંદિર બનાવે છે. ત્યાર પછી રાવણ ચાંદીનું મંદિર બનાવે છે, અને ભગવાન શ્રી કૃષ્ણ સુખડના લાકડાનું બનાવે છે. મતલબ સોમનાથ મંદિર વારંવાર બનાવવાનો સિલસિલો બહુ પ્રાચીન લાગે છે. જોકે એટલાં જુના પુરાવા મળવા મુશ્કેલ છે. 200px-PINQ3113

કૉમન એરા શરુ થાય તે પહેલા અહીં મંદિર હતું તેવું કહેવાય છે. જુના મંદિરને સ્થાને વલ્લભીના યાદવ રાજા સન ૬૪૯મા બીજું મંદિર બંધાવે છે. સન ૭૨૫માં સિંધના આરબ ગવર્નર જુન્નેદ એનું લશ્કર મોકલીને તોડાવી નાખે છે. અહીં એના તોડવાની શરૂઆત થઈ હોય તેવું માનવું યોગ્ય છે. તે પહેલા મંદિર જર્જરિત થઈ જતા નવા બનાવવા પડ્યા હશે. સન ૮૧૫મા ગુર્જર પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજા લાલ પથ્થરનું મોટું ભવ્ય મંદિર બનાવે છે. થરનું રણ પાર કરીને આવેલો મહંમદ ગઝની ૧૦૨૪મા એને તોડી નાખે છે. ગઝનીએ મંદિર એક જ વાર તોડ્યું છે તેવું ઈતિહાસકારો માને છે. લાઠીના વીર હમીરજી ગોહિલ ફક્ત ત્રણસો-ચારસો રાજપૂતો લઈને લડવા પહોચી જાય છે ગઝની સામે. ભીમદેવ સોલંકી કચ્છમાં સંતાઈ ગયો હતો તેવું કહેવાય છે. બ્રાહ્મણો શિવને કરગરે છે કે ત્રીજું નેત્ર ખોલો અને યવનોને ભસ્મ કરો. પણ બ્રાહ્મણો જાણતા નથી કે પરમેશ્વર ન્યુટ્રલ હોય છે એના માટે ગઝની, ઘોરી, પૃથ્વિરાજ, અંગ્રેજ, હિંદુ, મુસલમાન બધા સરખા જ હોય છે. હિંદુઓ વધારે વહાલા હોય તેવું પરમેશ્વર માટે નાં હોય. અને એવું રાખે તો પરમેશ્વર ના કહેવાય. તમારી લડાઈ તમારે જ લડવાની છે પરમેશ્વરે નહિ. આટલું સાદું સત્ય નાં જાણતા હજારો બ્રાહ્મણો શિવલિંગને વળગી રહ્યાને કપાઈ મર્યા. વધ્યા તે ગઝનીના બજારમાં ગુલામ તરીકે વેચાઈ ગયા. ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે પણ ફક્ત બેવાર લડાઈ થઈ હતી. એકવાર ઘોરી હારીને ભાગી ગયેલો બીજી વાર પૃથ્વીરાજ હારેલો. ૧૦૨૬ અને ૧૦૪૨ વચ્ચે મળવાના રાજા ભોજ અને ગુજરાતના ભીમદેવ સોમનાથને ફરી બંધાવે છે. સિદ્ધરાજ જયસિંહ પછી આવેલા રાજા કુમારપાળ પણ એનો જીર્ણોદ્ધાર કરાવે છે. ૧૨૯૬મા સુલતાન અલ્લાઉદ્દીન ખીલજી એને ફરી તોડી નાખે છે. ૫૦ હજાર હિન્દુઓની હત્યા થાય છે. ૨૦ હજાર ગુલામો તરીકે લઈ જવાય છે. કાળોકેર વર્તાવાય છે. ૧૩૦૮મા સૌરાષ્ટ્રના રાજા મહીપાલદેવ ચૂડાસમા એને ફરી બંધાવે છે અને એમનો દીકરો ખેંગાર આશરે ૧૩૨૬મા એમાં લિંગની પ્રતિષ્ઠા કરે છે. ફક્ત ૨૫-૫૦ વર્ષ પછી ગુજરાતનો સુલતાન મુઝફ્ફર શાહ ૧૩૭૫માં ફરી એને તોડી નાખે છે. ૧૪૫૧મા વળી પાછો મહંમદ બેગડો એને ફરી તોડી નાખે છે. ૧૭૦૧માં પાછું ઔરંગઝેબ એને તોડી નાખે છે, અને તે મંદિરના સ્તંભ વાપરી ત્યાં મસ્જિદ બનાવી નાખે છે. નાગપુરના રાજા ભોંસલે, પુનાના પેશ્વા, ગ્વાલિયરના શ્રીમંત પાટીલબુવા અને ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકરના સંયુક્ત પ્રયાસ વડે ૧૭૮૩મા આ સોમનાથનું મંદિર ફરી બંધાવાય છે.

૧૯૪૭મા સરદાર, મુનશી અને બીજા કોંગ્રેસીઓ ગાંધીજીને મળે છે અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે પ્રપોઝલ મૂકે છે. ગાંધીજી આગળ વધવાના આશીર્વાદ આપતા સૂચન કરે છે કે મંદિર બાંધવામાં થતા ખર્ચની જોગવાઈ પબ્લિક ફંડમાંથી કરવી, સરકાર પૈસા વાપરે તે યોગ્ય નથી. ગાંધી અને સરદાર તો બાંધકામ પૂરું થાય તે પહેલા મૃત્યુ પામે છે. નહેરુ સરકારના ફૂડ અને સિવિલ સપ્લાય મિનિસ્ટર એવા ક.મા. મુનશીની દેખરેખ નીચે બાંધકામ પૂરું થાય છે. હિંદુ ધાર્મિક પુનરુજ્જીવનનાં પ્રયત્ન રૂપે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારને ઓળખ આપવાનાં મુનશી અને રાજેન્દ્રબાબુનાં પ્રચાર પ્રત્યે નહેરુ પોતાની નારાજગી દર્શાવતા. હાલનું મંદિર ચૌલુક્ય સ્ટાઇલ કે મહામેરુ પ્રસાદ સ્ટાઇલનું ગણાય છે જે સોમપુરા ફૅમિલીની કમાલ ગણાય છે. આ મંદિરની એક ખૂબી એ છે કે આ મંદિર અને એન્ટાર્કટિકા વચ્ચે કોઈ જમીન કે ટાપુ છે નહિ..અહીં જે બાણસ્તંભ છે તેનો એરો દર્શાવે છે કે દક્ષિણ ધ્રુવથી શરુ કરો તો આ પહેલો લેન્ડમાર્ક છે. અને અહીંથી સીધા જાવ તો દક્ષિણ ધ્રુવ પહોચી જાવ. ૧૮૪૨મા અફઘાન વિજય મેળવીને અંગ્રેજો દ્વારા ગઝનીની કબર પરથી લવાયેલા મૂળ સોમનાથ મંદિરના ગણાતા સુખડના દરવાજા હજુ આગ્રા ફૉર્ટમાં ક્યાંક પડ્યા હશે. ઇતિહાસકાર રોમીલા થાપર આને હિંદુ મુસ્લિમ વૈમનસ્ય વધારવાની અંગ્રેજોની ચાલબાજી ગણે છે.

અંગ્રેજો ચાલબાજ હતા એમાં કોઈ શક નથી. અંગ્રેજો પહેલા પણ એને તોડવાની વિનંતી અકબરના સેનાપતિ મિરઝા પાસે પ્રભાસ શહેરના કાજી દ્વારા કરાઈ હતી. આમ બે કોમ વચ્ચે વૈમનસ્ય તો હતું જ અને તે પણ અંગ્રેજોનાં આગમન પહેલા..થાપરની થિયરીમાં અનેક છીંડા છે. ઇસ્લામ પહેલા આરબો કોઈ માતાને માનતા હતા. દેવીપૂજક હતા. તે દેવીની મૂર્તિઓ કોઈ કારણસર ભારત આવી ગઈ અને સોમનાથમાં સ્થપાઈ ગઈ મહાદેવ તરીકે? એને તોડવા ગઝની આવેલો? ચાલો માની લીધું પણ ગઝની તોડી ગયા પછી અનેકવાર શું કામ તોડવું પડે? પેલી માતાની મૂર્તિઓ ક્યાં એમાં હતી? મૂળે મૂર્તિભંજન દરેક આક્રમણકારીની ફરજ હતી. વૈમનસ્ય વધારવા તો મંદિર તોડતા હતા. નબળી કોમ શાંતિમંત્રણાઓ કે વૈમનસ્ય ના વધે તેવી વાતો કરતી હોય છે. જબરી કોમને ભાઈચારાની પડી હોતી નથી.

ગઝનીના સૈન્યમાં હિંદુઓ હશે તેમાં નવાઈ નહિ. મહારાજા રણજીતસિંહ અને ગુરુ ગોવિંદસિંહનાં લશ્કરમાં પણ મુસ્લિમ સૈનિકો કામ કરતા જ હતા. એમની વફાદારી જેતે રાજા પ્રત્યે હોય છે. અકબરના સેનાપતિ તરીકે ઘણીવાર હિંદુ રાજાઓ જતા. અંગ્રેજોના લશ્કરમાં બધા અંગ્રેજો હતા? હિંદુ અને મુસ્લિમ સૈનિકો વડે જ અંગ્રેજોના લશ્કર શોભતા હતા. જામનગરના પ્રિન્સ રાજેન્દ્રસિંહજી જર્મન મોરચે લડેલા હતા. અંગ્રેજો ગયા પછી એમણે ભારતીય લશ્કરમાં ઘણો ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરેલો. બીજા વિશ્વયુદ્ધમાં ખભેખભા મિલાવીને જે લોકો લડેલા તે જ લોકો આઝાદી પછી સામસામે લડેલા.. મરાઠાઓના લશ્કરમાં પણ મુસ્લિમ સૈનિકો અને અફસરો હતા. અંગ્રેજોએ જે લોકોનો વિનાશ કર્યો કહેવાય છે તે પીન્ઢારા મોટાભાગે મુસ્લિમ પઠાણો હતા અને આ પીન્ઢારા હિંદુ રાજાઓ માટે પણ કામ કરતા હતા. એમનું કામ યુદ્ધ પછીનું રહેતું, આ વધારાનું સૈન્ય હતું જે કામકાજના વળતર તરીકે જીતેલા પ્રદેશોમાં લૂંટ ચલાવી લેતા એમને કોઈ પગાર મળતો નહિ. રાજાઓ નબળા પડતા પીન્ઢારા વકરી ગયા હતા.

આ સોમનાથ મંદિર ગઝની સિવાય અનેક લોકોએ તોડ્યું છે. ગઝની પછી પણ કેટલા બધાં મુસ્લિમ સુલતાનોએ એને તોડ્યું છે? ખુદ ગુજરાતના સુલતાન મહમ્મદ બેગડાએ પણ એને તોડ્યું છે. છેલ્લે ઔરંગઝેબે પણ તોડેલું. જેમ જેમ આ મંદિર તોડાતું જતું હતું તેમ તેમ હિન્દુઓ માટે તે વધારે મહત્વનું બનતું જતું હતું તેમ લાગે છે અને તેથી એને વારંવાર તોડીને હિન્દુઓને નાલેશીના દરિયામાં નાખવાના કાયમ પ્રયત્નો થતા હશે. સોમનાથ મંદિર તોડવાની જાણે એક હરીફાઈ કે ફૅશન થઈ પડી હતી. બીજા અનેક મંદિરો ભારતમાં હતા અને છે. પણ બીજા મંદિરો બાબતે આવું કેમ નહોતું બનતું તે પણ વિચારવા જેવું છે. ગઝની ખાલી લૂંટારો હતો માટે મંદિર તોડેલું માનવું વધુ પડતું છે. ઇસ્લામનો ફેલાવો અને મૂર્તિભંજન મુસ્લિમ આક્રમણકારો માટે એમની ફરજમાં ગણાતું. ક્રીશ્ચિયાનીટી અને મુસ્લિમ ધર્મપરિવર્તનમાં માને છે. હિંદુ ધર્મ ધર્મપરિવર્તનમાં માનતો નથી. જૈન અને શીખ પણ ધર્મપરિવર્તનમાં માનતા નથી. ધર્મપરિવર્તન મોટાભાગે પરાણે જ થતું હોય છે. ધર્મ તમારા અનકોન્શીયસમાં સમાયેલો હોય છે. એટલે તલવારની ધાર નીચે એને મજબૂરીમાં બદલવો પડતો હોય છે. અથવા કોઈ લોભ કે લાલચ કામ કરી જતી હોય તેવું પણ બને. હિંદુ ધર્મની સખત વર્ણવ્યવસ્થાને લઈને નીચલાં વર્ગનું ખૂબ શોષણ થયું હોય છે અને ધર્મ બદલવા મજબૂર થઈ જવું પડ્યું હોય છે. આક્રમણકારી મુસ્લિમો માટે સમજાવટ કે શિક્ષણ આપવાનો સમય નહોતો, એમને માટે તલવારની ધાર જ ધર્મ પરિવર્તન કરાવવા માટે સીધો ટૂંકો ટચ રસ્તો હતો.

એક વહોરાજી મને બરોડામાં હતો ત્યારે મળેલા. એમની વાતમાં અતિશયોક્તિ જરૂર હશે. એમના કહેવા પ્રમાણે વહોરા બધાં બ્રાહ્મણો હતા. કોઈ મુલ્લાંજી પરદેશથી આવ્યા, બધાને સમજાવ્યા અને હિંદુ બ્રાહ્મણોએ ધર્મ બદલ્યો તે દિવસે જે જનોઈઓ ઉતારેલી તેનું વજન હજાર મણ થયેલું. હજાર મણ વજન જનોઈનું થાય તે માટે કેટલાં બ્રાહ્મણોએ જનોઈ ઉતારી હશે? મને મનમાં હસવું આવતું હતું કે સમજાવટથી બ્રાહ્મણો માન્યા હશે? કે માથાં ઉપર તલવારની ધાર દેખાતી હશે? હું છોડું ખરો? મેં સામો સવાલ પણ કરેલો પણ વહોરાજી કહે ના રે ના કોઈ બળજબરી નહોતી. મેં એવા લગ્નો જોયા છે જ્યાં હિંદુ અને મુસ્લિમ બંને વિધિઓ થતી હોય. ગણેશ પણ બેસાડે અને નિકાહ પણ પઢે. ધર્મ તમારા સબ કોન્શિયસમાં સમાઈ જતો હોય છે જે તમે વટલાવ તો પણ સદીઓ સુધી ક્યારેક નીકળતો નથી. માટે જ હિંદુ, જૈન, શીખ ધર્મપરિવર્તનમાં માનતા નથી. મંદિરો તો ઘણાં બધા તોડાયા હતા પણ એકનું એક મંદિર વારંવાર તોડાયું હોય તેવું સોમનાથ એકલું જ છે. અને વારંવાર તોડાયું હોય અને બંધાયું હોય તે મંદિર માટે સમસ્ત હિન્દુઓને વિશેષ પ્રેમ હોય તે પણ સ્વાભાવિક જ છે ને? હાલનું સોમનાથ મંદિર સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. પુરુષ અને સ્ત્રીના જનન અવયવોને સર્જનનાં પ્રતીક તરીકે મૂકેલા શિવલિંગને જોઈ સેક્સનું બહુમાન કરનારા પ્રાચીન ભારતીય મનીષીઓની બુદ્ધિ અને કલ્પનાશક્તિને નમન કરવા હાથ જોડાઈ જાય તેમાં શું નવાઈ? 200px-Somnath_temple_ruins_(1869)