બાર ગાઉ એ બોલી બદલાય

images

બાર ગાઉ એ બોલી બદલાય
બાર ગાઉ એ બોલી બદલાય તે કહેવત ખાલી ભારત માટે થોડી સાચી હોય? આખી દુનિયામાં આ ટ્રેન્ડ ચાલતો હોય છે. એટલે તમે લખવામાં ભાષા શુદ્ધિ નો આગ્રહ રાખી શકો બાકી બોલવામાં કદી રાખી શકો નહીં. હું વિજાપુર(મહેસાણા), નડિયાદ(ચરોતર) અને વડોદરા ઊછરેલો છું માટે મારી બોલવાની ભાષામાં આ ત્રણે વિસ્તારની બોલીનો લહેકો આવી જવાનો તે હકીકત છે. મતલબ હું શુદ્ધ મહેસાણી, શુદ્ધ ચરોતર કે શુદ્ધ બરોડીયન ભાષા બોલતો નથી ત્રણે વિસ્તારની મસાલા ખીચડી જેવી ભાષા બોલુ છું. મારા નાનાભાઈ વળી બરોડા નથી રહેલા તેઓ જામનગર વસેલા છે તો એમની ભાષામાં મહેસાણા, ચરોતર ભેળો સૌરાષ્ટ્રનો રોટલો પણ ભળેલો છે. મારા જીજાબા એટલે બહેનશ્રી વળી સાબરકાઠાં પરણાવેલાં છે એટલે એમની ભાષામાં મહેસાણા, ચરોતર સાથે ઈડર વિસ્તારનો ફેમસ મકાઈનો રોટલો અને અડદની દાળ પણ ભળેલા છે, એમાં બહેનનું પાછું રૉયલ ફેમિલી એટલે ‘આપ પધારો’, ‘આપ બિરાજો’, ‘જી હુકમ’, ‘કાકોસા’, ‘કાકીસા’, ‘ભાભીસા’, ‘ફુવાસા’, જીજાસા’, સાથે નાના બે વરસના જ કેમ ના હોય દીકરાને બાપુ અને દીકરીને બૈજીલાલ કહેવાનો મીઠડો માનવાચક ધારો છે.

‘લૅબુ, મૅઠુ અને પૉણી આવ્યું એટલે સમજો મહેસાણા આવ્યું. ઉચ્ચારણની ભાષામાં આમ અલગ અલગ વિસ્તારમાં થોડો થોડો ફેરફાર તો રહેવાનો જ. આનો કોઈ ઉપાય નથી. એકલાં ભારતમાં જ આવું હોય તેવું પણ નથી. અમેરિકામાં પણ થોડા થોડા ફેરફાર સાથે જ અન્ગ્રેજી બોલાય છે. દરેકનો પોતાની માત્રુભાષાનો ટોન બીજી ભાષામાં આવી જવાનો તે હકીકત છે. આપણે ભલે ભારતમાં બ્રિટીશ અંગ્રેજી ભણ્યા હોઈએ પણ દક્ષિણ ભારતીય અંગ્રેજી બોલશે અને ઉત્તર ભારતીય અંગ્રેજી બોલશે એ બેઉમાં ફરક પડવાનો. ઉત્તર ભારતીય હિંદી બોલે અને આપણે ગુજરાતી હિંદી બોલીયે તેમાં પણ આભ જમીનનો ફરક પડી જતો હોય છે. હું બરોડા રહેતો ત્યારે અમારી ઉપરના માળે થોડા કેરાલીયન મિત્રો રહેતા. એકવાર આવા એક કેરાલીયન મિત્રે પુચ્છ્યું ‘કાના કાયા?’ મને સમજ પડી નહી. હું શું? શું? એમ પૂછવા લાગ્યો. બાજુમાં ઊભેલા મિત્ર અરવિંદભાઈ કહે શું બાઘાં મારે છે? ખાના ખાયા? એવું પૂછે છે.

જોડણીની દ્રષ્ટીએ જોઈએ તો આપણે હળાહળ ખોટું ગુજરાતી લખીએ છીએ, અને હળાહળ ખોટું અંગ્રેજી બોલીએ છીએ. એમાં બધાં જ આવી જાય, પત્રકારો, માસ્તરો, વ્યાખ્યાનકારો, સૌરાષ્ટ્રનો હોય કે ગુજરાતનો કે ભારતનો હોય, વળી પોતાની માત્રુભાષાનો લહેકો પણ એમાં લાવવાનાં જ. એમાં ગુગલનો ગુજરાતી લખવાનો સૉફ્ટ્વેર જે વાપરે તે જે થોડું ઘણું સાચું ગુજરાતી લખતો હોય તે પણ ભૂલી જવાનો. કારણ એમાં તમે શબ્દ આખો લખો અને સ્પેસ દબાવો આખા શબ્દનું ગુજરાતી થઈ જાય. એમાં મનફાવે તેમ જોડણી લખાઈ જવાની. એમાં ‘ઍ’ અને ‘ઑ’ આવતો નથી. એટલે તમે એના બદલે ‘એ’ અને ‘ઓ’ થી ચલવી લેવાના. મને ખબર હતી કે ‘મૅમલ’ સાચો શબ્દ છે, પણ હું ‘મેમલ’ વડે ચલાવી લેતો હતો. આવા તો અનેક શબ્દો છે જેની સાચી જોડણી વગર ચલાવી લેવું પડતું. એના માટે વિશાલ મોણપરાનું પ્રમુખ ટાઈપેડ સારુ, એમાં એક એક અક્ષરનું ગુજરાતી થવા માંડે એટલે તમે સાચું લખી શકો. પણ ગુગલનુ સહેલુ પડતું હોવાથી અને ઝડપથી લખાતું હોવાથી મોટાભાગે તે જ વપરાય છે. એટલે જેને થોડી ઘણી પણ જોડણી સાચી આવડતી હોય તેણે વિશાલભાઈનો સૉફ્ટ્વેર વાપરવો અથવા ‘બરહા’ વાપરવું સારુ રહેશે. ગુજરાતી જોડણી માટે સાર્થ જોડણીકોશ મળે છે. આ જોડણીકોશ વાંચીને એને પબ્લિશ કરનારાઓ ઉપર એક વિદ્વાન મિત્રે એમાં રહેલી ભૂલો બેત્રણ પાનાં ભરીને મોકલી, તો સામે આભાર માનતો પત્ર આવ્યો, તો એમાંથી પણ ભૂલો શોધીને મોકલવામાં આવી તો પછી પેલાં લોકોએ પત્ર લખવાનું જ બંધ કરી દીધું. હાહાહાહા!!!

ગુજરાતીના આટલાં બધાં શબ્દોની જોડણી કોને યાદ રહે? સામાન્યજનનુ તો કામ જ નહીં. એટલે એના માટે એક ઝુંબેશ શરુ થઈ કે જોડણીની પળોજણ છોડીએ એક જ ‘ઉ’ અને એક જ ‘ઈ’ વાપરીએ. આને ઊંઝા જોડણી નામ અપાયું છે. ઘણાં બધા બ્લૉગર મિત્રો ઊંઝા જોડણી વાપરે છે. એક જ ‘ઉ’ અને એક જ ‘ઈ’ વાપરો તો મોટાભાગે જોડણીની સમસ્યા મટી જાય. જો કે ઊંઝા જોડણીમાં લખેલું કોઈ સપાટ ચહેરા વાળો મતલબ મોઢાં પર કોઈ ભાવ દેખાય નહીં તેવા જૉહ્ન અબ્રાહમ જેવા ઍક્ટરની સિનેમા જોતાં હોઈએ તેવું લાગતું હોય છે. જ્યારે સાચી-ખોટી જોડણીમાં લખેલુ દિલીપકુમાર-અમિતઆભ-પરેશ રાવલ જેવા ઉત્તમ અભિનેતાની ફિલમ જોતાં હોઈએ તેવું લાગતું હોય છે. મને એવું લાગે છે, તમને શું લાગે છે મને ખબર નથી. ઊંઝા જોડણીનો સારો એવો પ્રચાર થઈ રહ્યો છે, પણ ઘણા સાહિત્યકારો એનાથી નારાજ છે. એમને લાગે છે આ ઊંઝા જોડણીવાળા ગુજરાતી ભાષાનો નાશ કરી નાખશે. ઊંઝા જોડણીવાળા કહે છે અમારી જોડણી વૈજ્ઞાનીક છે. તો સ્વરપેટી ઉપર આધારિત જોડણી કઈ રીતે અવૈજ્ઞાનિક કહેવાય?

અમેરિકાની વાત કરું તો, અહીં ઉત્તર અમેરિકાના યુ.એસ.એ નામના દેશના ઉત્તરમાં રહેલાં રાજ્યો અને ટેકસાસ જેવાં દક્ષિણમાં રહેલાં રાજ્યોની અંગ્રેજીની બોલચાલની લઢણ ખાસી જુદી પડી જાય છે. એમાં વળી અશ્વેત પ્રજાએ એની પોતાની આગવી લઢણ વિકસાવી છે. અમદાવાદમાં વાહન ચલાવો તો આખી દુનિયામાં ચલાવો પાસ થઈ જાવ તેવું અહીં કહેવાય કે અશ્વેત લોકોનું બોલેલુ અંગ્રેજી સમજી શકો તો પછી ગમે ત્યાં જાવ અંગ્રેજી સમજવામાં વાંધો આવે નહીં. યુ.એસ.એ નીચે આવેલા મેક્સિકો અને એની પણ નીચે આવેલા દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલા દેશોમાં સ્પેનિશ ભાષા બોલાય છે. આ દેશોને લૅટિન અમેરિકન દેશો અથવા સ્પેનિશ દેશો પણ કહેવાય છે.

યુરોપના સ્પેનમાંથી આ દેશો ઉપર આક્રમણ થયેલું. આ બધા દેશો ઉપર યુરોપના સ્પેનની હકૂમત ચાલવા લાગી. મેક્સિકોની માયા અને પેરુની ઈન્કા સંસ્કૃતિનો નાશ કરી નાખવામાં આવ્યો. આશરે ૧૭ હજાર વર્ષ પહેલા વાયા સાયબીરીયા થી માનવો ધીમે ધીમે આ અમેરિકા ખંડમાં અલાસ્કા થી પ્રવેશ કરવા લાગેલા.એમાં જુદી જુદી સંસ્કૃતિઓ અહીં વિકસેલી જેવી કે Mesoamerica(the Olmec, the Toltec, the Teotihuacano, the Zapotec, the Mixtec, the Aztec, and the Maya) and the Andes (Inca, Moche, Chibcha, Cañaris). આમાં માયા સંસ્કૃતિના એમના પોતાના લેખિત રિકૉર્ડ મળે છે. આ બધી સંસ્કૃતિઓ ઘણી વિકસેલી હતી. ખેતીવાડી બાંધકામ બધામાં નિષ્ણાત હતી. ઍઝટેક લોકોએ એક ભવ્ય શહેર બનાવેલું Tenochtitlan, જે પુરાણું મેક્સિકો હતું. ત્યાં લગભગ ૨૦૦,૦૦૦ લોકો રહેતા હશે. તે લોકો ખગોળીય અને ગણિતશાસ્ત્ર જ્ઞાનમાં માહેર હતા.

૧૪૯૨માં કોલંબસની સફર પછી યુરોપિયન લોકોનાં ધાડા આવવાનું અહીં ચાલુ થયું. એ લોકો ગુલામ તરીકે ખેતી કરવા માટે આફ્રિકન લોકો ને લઈને આવ્યા, અને સાથે સાથે જાત જાતનાં મૂળ અહીંના લોકો માટે નવા એવા રોગો લઈ ને આવ્યા. એમાં અહીંની સ્થાનિક પ્રજા મરવા માંડી, બંને વચ્ચે યુદ્ધો થવા લાગ્યા. રીતસરનું જેનસાઇડ શરુ થયું અને સ્થાનિક જાતિઓનો નાશ કરવાનું ચાલુ થયુ. આપણે માનીયે છિયે તેમ સ્થાનિક કહેવાતી રેડ ઈન્ડિયન્સ જાતિઓ સાવ ખતમ નથી થઈ ગઈ પણ એમનું સંકરણ થઈ ગયું છે. જો કે શુદ્ધ રુપે ખતમ થઈ ગઈ છે તેમ કહી શકાય. યુરોપીયન્સ અને સ્થાનિક જાતિઓનું ભેગું થઈ ને જે ક્રોસ બ્રીડિંગ થઈ ગયુ છે તે આજની અમેરિકન સ્પેનિશ પ્રજા કહેવાય છે.

મૂળ અમેરિકન પ્રજા ઉત્તર ધૃવમાં રહેતી પ્રજાના જીન ધરાવતી હાથ પગ ટૂંકા, ઊંચાઈ સાવ ઓછી આપણા ગુરખા જેવી. અત્યારે હું ન્યુ જર્સીના ફ્રિહોલ્ડ વિસ્તારમાં જાઉં તો કહેવાતા સ્પેનિયા જોઈ એવું લાગે કે આ તો આપણાં ગુરખાને ઊંચા કહેવડાવે તેવાં છે. ગોળમટોળ બેઠીદડીના સાવ બટકા આપણાં ગુરખા જ જોઈ લો. કલર પણ ઘંઉવર્ણ બહુ ઊજળા નહી. આ પ્રજામાં એટલી બધી વિવિધતા છે કે ના પૂછો વાત. એકદમ ગોરા ઊંચા થી માંડીને સાવ બટકા અને અશ્વેત પણ મળી આવે. ભલે ગીતામાં ક્રુષ્ણે કહ્યું હોય કે વર્ણસંકર પ્રજાનો નાશ થાય પણ ભારતમાં પણ એટલું બધું સંકરણ થયેલું છે કે ના પૂછો વાત. દક્ષિણ અમેરિકા ખંડ અને ઉત્તર અમેરિકા ખંડ વચ્ચે એક નાની પટ્ટી રૂપ જોડાણ છે જેમાં નાના દેશો આવેલા છે. આ નાની પટ્ટીમાં હોન્ડુરાસ, નિકારાગુઆ, અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, કોસ્ટારિકા, પનામા જેવા દેશો આવેલા છે. જ્યારે નીચે દક્ષિણ અમેરિકા ખંડમાં વેનેઝુએલા, ગુયાના, સુરીનામ, કોલમ્બિયા, ઇક્વાડોર, બ્રાઝીલ, બોલિવિયા, પેરુગ્વે, ઉરુગ્વે, ચીલી, આર્જેન્ટીના વગેરે સ્વતંત્ર દેશો છે. આ બધા દેશોની પ્રજા હિસ્પાનીક કહેવાય છે. વચ્ચે નાના નાના ટાપુઓ રૂપે ઘણા બધા દેશો છે જેવા ક્યુબા, ડોમોનીકન રિપબ્લિક, પોર્ટૄરીકો. આ દેશોની પ્રજા લાતીનો કહેવાય છે. બોલે છે બધાં સ્પેનિશ પણ બધાનું સ્પેનિશ અલગ અલગ છે. પણ જેમ આપણે ગુજરાતના કોઈ પણ ભાગમાં બોલાતું થોડું અલગ ગુજરાતી સમજી જઈએ છિયે તેમ આ પ્રજા પણ અલગ અલગ પ્રકારનું બોલાતું સ્પેનિશ સમજી જતી હોય છે.

ચાલો ફરી અંગ્રેજી ઉપર આવીયે તો શેક્સપિયર પહેલાં જે અંગ્રેજી વપરાતું હતું તે ઓલ્ડ અંગ્રેજી સાવ જુદું હતું, આજે કોઈને સમજાય નહી તેવું. શેક્સપિયરે નવા અંગ્રેજીના વિકાસમાં ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ક્રાન્તિ અને વિકાસની વાતો કરનારા માટે નવું અંગ્રેજી જરૂરી હતું. નવું અંગ્રેજી રિબેલિયન ભાષા હતી. એકલાં શેક્સ્પિયરે ખુદ ૨૦-૨૫૦૦૦ શબ્દો નવા પ્રયોજ્યા હશે. એટલે તો અંગ્રેજી સાહિત્યમાં એનું આટલું બધું માન છે. અંગ્રેજીમાં આજે રોજ નવા શબ્દો ઉમેરાય છે અને તે પણ દુનિયાની તમામ ભાષાઓમાંથી. સંસ્કૃતની વાત કરીયે તો વેદોનું સંસ્કૃત અલગ છે. પાણિનીનું પરફેક્ટ વ્યાકરણ સહીતનુ સંસ્કૃત અલગ પડી જાય છે. વેદ કાળના સંસ્કૃતમાં ‘ળ’ છે, પાણિનીના સંસ્કૃતમાં ‘ળ’ નથી. વળી ગુજરાતીમાં ‘ળ’ છે. પ્રાકૃત અને પાલી અશુદ્ધ સંસ્કૃત જ કહેવાય. તો આજની ભારતની ગુજરાતી સહિત અનેક ભાષાઓ અશુદ્ધ સંસ્કૃત કહી શકીયે.

આપણે હળાહળ ખોટું ગુજરાતી લખીએ છિયે અને હળાહળ ખોટું અંગ્રેજી બોલીયે છિયે. ચાલો થોડા નમૂના બતાવું.. આપણે અંગ્રેજીના of ને ઑફ કહીએ છિયે ખરેખર ઑવ છે. Dose ડોઝ ખોટું છે એને ડૉસ કહેવાય. Planning પ્લાનિંગ ખોટું છે પ્લૅનિંગ કહેવાય. Efficient એફિશિયન્ટ ખોટું છે એફિશન્ટ કહેવાય. adoption એડોપ્શન ખોટું છે અડૉપ્શન કહેવાય. Protection પ્રોટેક્શન ખોટું છે પ્રટેક્શન કહેવાય. avoid એવૉઈડ ખોટું છે અવૉઈડ કહેવાય. Violence વાયોલેન્સ ખોટું વાયલન્સ સાચું. accelerator ઍક્સિલેટર ખોટું છે એક્સલરેટર કહેવાય. ફિલૉસૉફી ખોટું ફિલૉસફી કહેવાય. Alpha આલ્ફા ખોટું છે ઍલ્ફા કહેવાય. Monogamy મૉનોગેમી ખોટું મનૉગમી કહેવાય તેવી રીતે polygamy પૉલીગેમી પણ ખોટું છે પૉલીગમી કહેવાય. release રિલીઝ પણ ખોટું રિલીસ કહેવાય. બિહેવિયર પણ ખોટું બિહેવ્યર કહેવાય. થાકી ગયો યાર…છોડો આવા તો અનેક શબ્દો છે જે આપણે ખોટા બોલીયે છિયે અને લખીએ પણ છિયે..

ગીર-ગુજરાતની શાન શતમ જીવમ પુંડરીકમ

images0-

ગીર-ગુજરાત કી શાન સિંહ મેરી જાન

સમગ્ર ગુજરાતનું ગૌરવ અરે ભારતનું કહો તો પણ ચાલે એવા એશિયાટિક સિંહને મધ્યપ્રદેશમાં વસાવવા બાબતે ગુજરાત સરકારે તો શક્ય વિરોધ સુપ્રીમ કોર્ટમાં કરી જોયો છે. એટલે ગુજરાત સરકારને ભાન્ડવી નકામું છે. ઍઝ યૂઝુઅલ આપણી માનસિકતા પ્રમાણે આ બાબતે પણ લાગણીઓમાં તણાઈ જવાના. આપણા ભારતમાં તજજ્ઞોનું કોણ સાંભળે છે? અને એમની સલાહસૂચન પણ કોણ ગણકારે છે? એવું હોત તો મચ્છુ ડેમ તૂટ્યો જ નાં હોત. અને જે ભયાનક તારાજી થઈ હતી તે થઈ નાં હોત. ડેમ બનાવવાની અને બનાવીને નામ કમાઈ લેવાની લ્હાયમાં તજજ્ઞોની સલાહની અવગણના તજજ્ઞ એવા ગુજરાત સરકારના એન્જીનીયરો જ કરી બેઠેલા.

૧૯૫૬મા ઉત્તરપ્રદેશની સરકારે ઇન્ડિયન બોર્ડ ફોર વાઈલ્ડલાઈફ આગળ એક પ્રપોઝલ મૂકી હતી. ૯૬ ચોરસ કિલોમીટરનો એરિયા ધરાવતી ચંદ્રપ્રભા વાઈલ્ડલાઈફ સૅંક્ચ્યૂઅરી નું વાતાવરણ લગભગ ગીર જેવું હોવાથી ત્યાં થોડા સિંહ ગીરમાંથી લાવીને વસાવવાની યોજના હતી. ૧૯૫૭મા ત્યાં એક નર અને બે માદા એમ એક જોડ સિંહની ત્યાં લવાયેલી પણ ખરી. થોડા વધ્યા અને ૧૯૬૫મા એકદમ નાશ થઈ ગયો. આફ્રિકન સિંહ કરતા ગીરનો સિંહ થોડો સંસ્કારી લાગે છે. હહાહાહાહા આફ્રિકન સિંહને પાંચથી સાત પત્નીઓ જોઈએ. ગીરના સિંહ થોડા શરમાળ લાગે છે આ બાબતમાં. આફ્રિકન સિંહ રાજપૂત રાજાઓ અને જમીનદારો જેવો. ઓછામાં ધરાય નહિ. ગીરનો સિંહ શ્રીમંત વાણિયા શેઠ શાહુકાર જેવો કહેવાય બે અથવા વધુમાં વધુ ત્રણ શ્રીમતી વડે ચલાવી લે. ભૂમિનો પ્રતાપ આનું નામ..

જ્યારે તમે કોઈ બ્રીડનું અચાનક નવી જગ્યાએ સ્થાનાન્તરણ કરો ત્યારે અતિશય ધ્યાન રાખવું પડે. એની સ્પેશીયલ કાળજી રાખવી પડે. કેપ્ટીવીટીમાં ઉછેરો અને જંગલમાં છુટા સર્વાઈવ થવા છોડી દો આ બે બાબતમાં ઘણો ફરક હોય છે. અમેરિકા અને યુરોપના પ્રાણી સંગ્રહાલયોમાં આવી રીતે સિંહ ઉછેરવાનો પ્રોગ્રામ ચાલી જ રહ્યો છે. આ લોકો આફ્રિકન અને એશીયાટીક બંને બ્રીડનું ક્રૉસિંગ પણ કરતા હોય છે. પણ આ બધું સલામત અને તજજ્ઞોની દેખભાળ હેઠળ થતું હોય છે. આમ અત્યારે ગીરના સિંહ ગણો કે એશિયાટિક સિંહ ગણો European Endangered Species Programme for Asiatic lions ( EEP ) પાસે ૧૦૦ સિંહ છે.

એશિયાટિક સિંહ ખાલી ગીરમાં જ રહ્યાં છે તે સિંહનું કમનસીબ છે અને આપણી માનવજાતની શરમ છે. પર્શિયન ભાષામાં ઈરાન નો અર્થ લેન્ડ ઑફ આર્યન્સ થાય છે. આમ આર્યભૂમિ કહો કે આર્યાવર્ત કહો ઈરાનમાં એશિયાટિક સિંહ હતા. પેલેસ્ટાઇન, મેસોપોટેમીયા, બલુચિસ્તાન, સીરિયા, ભારતમાં-પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ગુજરાતમાં એશિયાટિક સિંહ વસતા જ હતા. યુફ્રેટ્રીસ નદીના ઉપરવાસમાં ૧૮૭૦ સુધી આ સિંહ નોંધાયા છે. ઈરાનમાં પણ મોટા પ્રમાણમાં ફેલાયેલા આ સિંહ ધીમે ધીમે અદ્રશ્ય થઈ ગયા. ઝર્ગોશની પહાડીઓ અને શિરાઝનાં જંગલોમાં ૧૮૭૦ સુધી આ સિંહ વ્યાપક પ્રમાણમાં વસતા હતા. ૧૯૪૪મા ઈરાનમાં karun નદીના કિનારેથી એક સિંહણનું મડદું મળેલું. ૧૯૬૩મા પાંચની સંખ્યા ધરાવતા છેલ્લા સિંહ પરિવારનો નાશ કરીને ઈરાનીઓએ ખુબ જલસો કર્યો ત્યારે એમના રાષ્ટ્રીય ધ્વજ ઉપર સિંહ બિરાજમાન હતો, છે ને કરુણતા? નર સિંહ તો આગાઉથી જ મારી નંખાયો હતો અને માદા સિંહ સાથે ચાર બચ્ચા પણ હતા. ૧૯૭૯માં ઇસ્લામિક ક્રાંતિ થઈ ત્યાં સુધી ઈરાનના રાષ્ટ્રીય ધ્વજ ઉપર હાથમાં તલવાર લઈને સિંહનું ચિત્ર બિરાજમાન હતું. ભલા સિંહને વળી તલવારની જરૂર પડે ખરી?

ભારતમાં જોઈએ તો ઝારખંડ જિલ્લાના પલામાઉ એરિયામાં ૧૮૧૪ માં આ સિંહ છેલ્લે દેખાયા હતા. બરોડા, હરિયાણા અને અમદાવાદ વિસ્તારમાં ૧૮૩૦ સુધી હતા. પાકિસ્તાન સિંધનાં કોટ દાજી અને મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં ૧૮૪૦ સુધી એશિયાટિક સિંહ દેખાયા હતા. ૧૮૫૭ના બળવા વખતે બ્રિટીશરોએ ૩૦૦ સિંહ મારી નાખેલા. ગ્વાલિયર અને રેવા મધ્યપ્રદેશમાં છેલ્લો સિંહ ૧૮૭૦મા મરાયો હતો. ગુના-મધ્યપ્રદેશ, ડીસા અને પાલનપુર વિસ્તારમાં ૧૮૮૦ સુધી આ સિંહ હતા ત્યાર પછી એમનો સફાયો થઈ ગયો. સલામ કરો જૂનાગઢના નવાબને કે એમણે સખત કાયદો કર્યો અને સિંહના શિકાર ઉપર પ્રતિબંધ મૂકી દીધો બાકી આજે સમ ખાવા એક પણ એશિયાટિક સિંહ બચ્યો નાં હોત.

સિંહ વિષે બધી લોકોક્તિઓ સાચી હોતી નથી. ગીરમાં એક લોકવાયકા છે કે ગોવિંદો નામનો સિંહ એની જોડીદાર સિંહણ મરી જતા માથા પછાડી ને મરી ગયેલો. ગપ્પા મારવામાં શું કામ પાછળ રહેવું? લોકકવિઓ સિંહોને પણ છોડતા નથી.

સિંહ સિંહણની પાછળ માથા પછાડી ને મરી જાય તેવો પ્રેમી હોતો નથી. તદ્દન ખોટી વાત છે. સિંહ મરેલો શિકાર ખાતો નથી કે બીજાનો કરેલો શિકાર ખાતો નથી તે વાત પણ ખોટી છે. ખાસ તો સિંહના ટોળામાં જે સિંહણો હોય છે તેજ શિકાર કરે છે. પછી સિંહ ત્યાં આવી ને બધી સિંહણો ને ભગાડી મૂકે છે. પછી લહેરથી પેટ ભરીને વધેલું સિંહણો માટે છોડી દે છે. સિંહ ભાગ્યેજ શિકારમાં જોડાય છે. ભાઈ તૈયાર રોટી ખાવાવાળા છે. ટોળાં સિવાય એકલાં રહેતા સિંહો ને ચોક્કસ શિકાર કરવો પડે. ટોળામાંના નર બચ્ચા મોટા થતા તગડી મૂકવામાં આવે છે. ટોળાનો માલિક સિંહ ઘરડો થતા બીજો કોઈ જુવાન સિંહ એની સાથે લડી એને તગડી મૂકી ને ટોળાનો માલિક બની જાય છે. અને પહેલું કામ ટોળામાં રહેલા નાના બચ્ચાઓ ને મારી નાખવાનું કરે છે. એ બચ્ચાઓને બચાવવા એમની માં સિંહણ જીવના જોખમે સિંહનો સામનો કરે છે, પણ બળવાન અને પુષ્કળ શારીરિક બળ ધરાવતા સિંહ સામે હારી જાય છે, અને નજર સામે પોતાના બચ્ચાને મારતા જોઈ રહે છે. છે ને હૃદય દ્રાવક? કુદરતના રાજ્યમાં NO અહિંસા. પછી એજ સિંહણ ગરમીમાં આવીને પેલાં સિંહ જોડે સંસર્ગ કરીને બચ્ચા જણે છે. પોતાના છોકરાઓને મારનાર જોડે પ્રેમ? Any morality? There is no morality in ‘The world of Nature.

કેટ એટલે બિલાડીના કુલમાંના ચાર સૌથી મોટા પ્રાણીઓમાં આ સિંહ ભાયડો આવે છે. પેન્થેરા લીઓ એનું વૈજ્ઞાનિક નામ છે. ઘણા સિંહ ૨૫૦ કિલો સુધીના વજનમાં હોય છે. ૧૦,૦૦૦ વર્ષ પહેલા સિંહ આખી દુનિયામાં ફેલાયેલા હતા ને માનવ જાત પછી એમની વસ્તી બીજા પ્રાણીઓમાં સૌથી વધારે હતી. સિંહ સામાજિક પ્રાણી છે. જંગલમાં સતત લડતા હોવાનું હોવાથી સરેરાશ આયુષ્ય ૧૪ વર્ષ નું હોય છે, જ્યારે પાળેલા સિંહ મતલબ પ્રાણી બાગ માં ૨૦ વધારે વર્ષ જીવી શકે છે. હવે ખાલી આફ્રિકાના ઘાસિયા મેદાનો અને ગીરમાં જ બચ્યા છે. છેલ્લા બે દાયકામાં લગભગ ૫૦% વસ્તી ઓછી થઈ ગઈ છે. સંસ્કૃતમાં સિંહ પુંડરીકમ કહેવાય છે. સિંહનું જૂનામાં જુનું ફોસિલ ૩૫ લાખ વર્ષ પહેલાનું મળેલું છે. ટાયગર, જેગુઆર ને લેપર્ડ એ સિંહના પિત્રાઈ કહેવાય. કૉમન પૂર્વજોમાંથી ૧૯ લાખ વર્ષ પહેલા જેગુઆરને સિંહ છુટા પડેલા જ્યારે લેપર્ડ દસ લાખ ને આશરે વાઘ ૨૫૦૦૦ વર્ષ પહેલા છુટા પડેલા. મતલબ વાઘ, જેગુઆર, લેપર્ડ અને સિંહ બધાના પૂર્વજ એક જ હતા.
૧) P.l.persica, એશિયાટિક લાયન એક સમયે ઈરાન, પાકિસ્તાન, ટર્કી, બાંગ્લાદેશ બધે ફેલાયેલા હતા. હવે ગીરમાં ફક્ત ૩૦૦ થી ૪૦૦ ની વચ્ચે બચ્યા છે.
૨) P.l.leo, બાર્બેરી લાયન ઈજીપ્ત ને મોરોક્કોમાં હતા. બહુ વિશાલ દેહયષ્ટિ ધરાવતા હતા. ૧૯૨૨ માં આ શાખાનો છેલ્લો સિંહ મોરોક્કોમાં મરાયો હતો.
૩) P.l,senegalensis, વેસ્ટ આફ્રિકન લાયન સેનેગલ અને નાઈજીરિયામાં મળે છે.
૪) P.l,azandica નોર્થ ઈસ્ટ કોન્ગો લાયન કોન્ગોમાં મળે છે.
૫) P.l.nubica, મસાઈ લાયન ઈથિયોપિયા, કેન્યા, તાન્ઝાનિયા, મોઝામ્બિકમાં મળે છે.
૬) P.l. bleyenberghi, કતંગા લાયન નામિબિયા, બોત્સવાના, અંગોલા, કતંગા, ઝામ્બીયા, ઝીમ્બાબ્વેમાં મળે છે.
૭) P.l. krugeri, ટ્રાન્સવાલ લાયન ટ્રાન્સવાલ અને કૃગર નેશનલ પાર્કમાં જોવા મળે છે.
૮) P.l.,nubica Tsavo સાવો લાયન કેન્યા ને સાવો નેશનલ પાર્ક માં છે.

એક સમયે કેનેડા યુકોન વેલી થી છેક પેરુ ને શ્રીલંકામાં પણ સિંહ હતા. નર સિંહ ને માદા વાઘ એટલે વાઘણ સાથે ક્રોસ કરીને લાયઘર નામનું પ્રાણી પેદા કરેલું છે. જે ખુબ વિશાલ લગભગ ૧૦૦૦ પાઉન્ડ સુધી નું વજન ધરાવે છે. એવી રીતે સિંહણ ને વાઘ વચ્ચે ક્રોસ કરીને ટાઈગોન પણ પેદા કરેલ છે. કશું કામ ના હોય તો સિંહ ૨૦ કલાક આરામ કરે છે. ભૂખ લાગે તો જ ઉભા થવાનું. સિંહ ને લગભગ ૭ કિલો ને સિંહણ ને આશરે ૫ કિલો માંસ રોજ ખાવા જોઈએ.

આફ્રિકન સિંહ બહુ મોટો પરિવાર ધરાવતો હોય છે. એના પરિવારમાં બે થી માંડીને સાત સાત સિંહણ હોય છે અને ઘણીવાર આવા એક કરતા વધુ સિંહણ ગ્રૂપ ઉપર કાબુ ધરાવતો હોય છે, જ્યારે ગીરનો સિંહ પ્રમાણમાં નાનો પરિવાર ધરાવતો હોય છે. મોટાભાગે બે જ સિંહણ અને એના બચ્ચાં એના પરિવારમાં હોય છે. સિંહ મોટાભાગે બહુ મોટા શિકાર શોધતો હોય છે. ૨૦૦ થી ૫૦૦ કિલો વજનના મોટા પ્રાણીઓ ઉપર હાથ અજમાવવો એના માટે રમતવાત છે. ગીરના સિંહ મોટાભાગે ૫૦ કિલોના ચિતલ ઉપર વધારે હાથ સાફ કરતા હોય છે. આફ્રિકન સિંહ કરતા કદ કાઠીમાં ગીર સિંહ થોડો નાનો હોય છે.

ગીરના માલધારી જીવન સાથે સિંહ વણાઈ ગયેલો છે. શુદ્ધ શાકાહારી આ પ્રજાને સિંહ માટે માન છે. આ પ્રજા સિંહનો નાશ કરે તેવી જરાય નથી. જે નાશ થયો છે તે બ્રીટીશરોએ એમના શોખ માટે કર્યો છે અને તેમના વાદે ચડેલા રાજામહારાજાઓએ કર્યો છે. મધ્યપ્રદેશની બદમાશ ટોળીઓ છેક ગીર આવીને સિંહ મારી જતી હોય એમને તો મધ્યપ્રદેશમાં વસાવેલા સિંહ ઘરઆંગણે મારવા મળી જવાના. ગીરમાં સિંહની વસ્તી વધી છે માટે એમને બીજે વસાવવા પડે છે? તમારી માનવ વસ્તી વધે છે તેનું શું? સિંહ પહેલા ૧૦૦ જ હતા હવે વધી ગયા છે તેવી દલીલ થાય છે. અલ્યા ભાઈ તમે બધા મારી નાખ્યા તો ૧૦૦ વધેલા બાકી તો બહુ હતા. બહુ બધા હતા તે લોકો ભૂલી જાય છે. બરોડા, અમદાવાદ, પાલનપુર અને ડીસા વિસ્તારમાં પણ સિંહ હતા. હું માનું છું બનાસકાંઠામાં સિંહ ફરી વસાવવા જોઈએ. ત્યાં ગીર જેવા શાકાહારી માલધારીઓ જ વસે છે. ત્યાં વાતાવરણ પણ ગીર જેવું લગભગ છે. સિંહ એની મેળે જગ્યા શોધી નવા નવા વિસ્તારમાં ધીમે ધીમે અનુકૂલન સાધતા વધતા જાય અને ફેલાતા જાય તે વધુ બહેતર છે, પણ આપણે વધારેલી બેહદ વસ્તી અને સિમેન્ટના જંગલ એમાં અવરોધક બનવાના. માટે પ્રેક્ટીકલી તે શક્ય નથી તો સિંહનું સ્થાનાંતરણ કરવું પડે છે તે મજબૂરી સમજી તે માટે અતિશય કાળજી રાખવી પડે અને તે નૈતિક રીતે રખાય તો જ પ્રયોગ સફળ થાય. બનાસકાંઠા અને કચ્છ જેવાં વિસ્તારમાં સિંહને વસાવવામાં ગુજરાત સરકારને શું વાંધો આવે? આશરે પાંચેક હજાર વર્ષથી સિંહ ભારતમાં વસવા આવેલા છે તેવું કહેવાય છે તો અત્યાર સુધી કોઈ ચેપી રોગ નહોતાં નડતા અને હવે નડે છે? HIV જેવો FIV રોગ ડોમેસ્ટિક કેટને થતો હોય છે. તેવો રોગ વાઈલ્ડ કેટ વાઘ સિંહ જેવાને થાય તો આ જાતિઓ તો નષ્ટ જ થઈ જાય. એવો ભય એક બાયોલોજીસ્ટ ને ઉપજ્યો. એણે આખી દુનિયામાંથી વાઈલ્ડ કેટ પ્રાણીઓના જિન્સ એકઠાં કર્યા અને રિસર્ચમાં એવું આવ્યું કે વાઈલ્ડ કેટ શ્રેણીના પ્રાણીઓ આ ભયાનક FIV રોગ સામે પ્રતિકાર શક્તિ તો હજારો વર્ષોથી કેળવી ચુક્યા છે. આ રોગ ખાલી ઘરેલું પાળેલી બિલાડીઓ ને જ થાય છે.

નિષ્ણાતો સલાહ આપે કે હવે સિંહ બીજે વસાવવા જોઈએ તે સાચી વાત છે. પણ આપણે નિષ્ણાંતોની એક સલાહ માનીએ છીએ પણ આ લોકોએ આપેલી બીજી કાળજી રાખવાની સલાહો ભૂલી જઈએ છીએ. તજજ્ઞોએ મચ્છુ ડેમ બંધાવાની સલાહ આપી તે માની લીધી પણ ડેમ બાંધવામાં જે જે તકેદારીઓ રાખવાની હતી તેના વિષે તજજ્ઞોએ કરેલા સૂચનો ફગાવી દીધા હતા. પછી કહીએ કે તજજ્ઞોએ તો કહેલું બંધ બાંધવાનું એમાં તૂટી જાય તો અમે શું કરીએ? અહીં પણ આવું જ થવાનું છે. તજજ્ઞો સલાહ બધી બાજુની આપીને છૂટી જવાના, સુપ્રીમ કોર્ટ ચુકાદો આપીને છૂટી જવાની, ગુજરાત સરકાર કચવાતા મને ચુકાદો માથે ચડાવીને છૂટી જવાની પણ નૈતિકતામાં નહિ માનનારા લોકો આ પ્રયોગ પહેલાની જેમ ફરીવાર નિષ્ફળ બનાવીને જ જંપશે. ત્યારે નૈતિકતાનાં અતિશય બણગાં ફૂંકનાર લોકો અસહાય બનીને જોયા કરશે પણ એમાં મરો તો બિચારાં એશિયાટિક સિંહનો જ થવાનો છે. સારું છે કે ગીરમાં છે એટલાં બધા સિંહ કુનો-મધ્યપ્રદેશ નથી મોકલવાના. imagesCAFIG65R

વિજ્ઞાન પરીકથા(science fiction novel) ‘અંતહીન યાત્રા’ નું વિમોચન

10005વિજ્ઞાન પરીકથા(science fiction novel) ‘અંતહીન યાત્રા’ નું વિમોચન

ગુજરાતીમાં સાયન્સ ફિક્શન નવલકથાઓ બહુ ઓછી લખાતી હોય છે. એનું મૂળ કારણ આપણે વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા પ્રત્યે ઉદાસીન છીએ. કદાચ હિન્દી અને બીજી ભારતીય ભાષાઓમાં પણ વિજ્ઞાન પરીકથાઓ બહુ ઓછી લખાઈ હશે. આપણે એવા સાયન્સ ફિક્શન મુવી પણ બહુ બનાવતાં નથી. એક બાળકની જિજ્ઞાસા કે ‘પૃથ્વી ધરી ઉપર ફરતી અટકી જાય તો?’ આટલી સુંદર સાયન્સ ફિક્શન નવલકથા અને તે પણ ગુજરાતી સાહિત્યમાં આપશે તે કોઈ માની પણ નહિ શકે. આ નવલકથાના બે લેખકો છે. શ્રી પ્રકાશ વૈદ્ય સાહિત્યકાર અને નાટ્યકાર છે. શ્રી પ્રદીપસિંહ રાઓલ જામનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી એન્જીનીયર હતા. તેઓએ બિરલા ઇન્સ્ટીટયુટ ઑફ ટેક્નોલૉજી એન્ડ સાયન્સ, પીલાનીમાંથી એમ.એસ.સી ફીજીક્સ અને બી.ઈ. સિવિલ એમ બે ડિગ્રી હાંસિલ કરેલી છે. પીલાની બિરલાનું વતન થાય તે જાણ સારું લખું છું, અને દેશની અગ્રગણ્ય ગણાતી આ કૉલેજનાં સ્થાપક બિરલા ફેમિલી જ છે. આમ એક નાટ્યકાર અને એક ભૌતિકશાસ્ત્રી સાથે સાથે સિવિલ એન્જીનીયર એવા બે મિત્રોએ આ નવલકથા લખવાનું વર્ષો પહેલા શરુ કરેલું. 10007

પૃથ્વી ધરી ઉપર ફરતી અટકી જાય તો કેવી ગંભીર સમસ્યાઓ પેદા થાય તેના વર્ણન અને કલ્પના માટે એમનું ભૌતિકશાસ્ત્રનું જ્ઞાન પણ કામે લાગ્યું છે. આ પુસ્તકમાં પર્યાવરણ બચાવો તેવો સંદેશો પણ વણી લેવાયો છે. અહીં પણ પરગ્રહવાસી એલિયન આવે છે પણ તે પશ્ચિમની કલ્પના આધારિત ચિત્રવિચિત્ર મોઢાવાળા નથી. લેખકો તમને સાહિત્ય અને વિજ્ઞાનનો સંગમ કરીને નાના ગામડાથી માંડીને અમેરિકા, નાસા, અને દૂર ગેલેક્ષીઓની સફર કરાવશે. વેદકાળથી વિજ્ઞાનકાળ સુધીની અદ્ભુત રોમાંચિત સફર કરાવશે.

ડૉ. જે.જે.રાવલ
ડૉ. જે.જે.રાવલ
આ કથા વિષે ડૉ જીતેન્દ્ર જટાશંકર રાવલ નામના વૈજ્ઞાનીકે બહુ સુંદર અભિપ્રાય આપ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ ગામમાં ૧૯૪૩મા જન્મેલા આ ગુજરાતી વૈજ્ઞાનિક Astrophysicist છે. Nehru Planetarium, Bombay નાં ડાયરેક્ટર તરીકે વર્ષો સુધી સેવા આપી ચૂક્યા છે. તેઓ The Indian Planetary Society નાં પ્રમુખ છે. આ કથાના લેખકો માટે સૌભાગ્યની વાત એ છે કે આ પુસ્તકના વિમોચન પ્રસંગે ડૉ. જે. જે. રાવલ ખુદ હાજરી આપવાના છે.

આ નવલકથાના વાચકો માટે એક સુંદર યોજના વાચકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે મૂકવામાં આવી છે. આ નવલકથા વાંચીને એનો ટુંકસાર લખીને મોકલવાનો રહેશે. જે વાચકનો ટુંકસાર સર્વશ્રેષ્ઠ હશે તેને ૧૦,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. એ વિષે વધુ વિગતો વિમોચન પ્રસંગે જાહેર કરશે.

વિમોચન સ્થળ : કુંવરબાઈ જૈન ધરમશાળા, જેલ રોડ. જામનગર
એપ્રિલ ૨૮, ૨૦૧૩ સમય : સવારે ૯ થી ૧૨

તમામ મિત્રોને અનુકૂળતા પ્રમાણે આ પ્રસંગે હાજર રહેવા જાહેર નિમંત્રણ છે. જામનગર અને એની આસપાસ રહેતા મિત્રો માટે તો ડૉ.જે.જે.રાવલ ને સાંભળવાનો અણમોલ અવસર છે.
અલ્યા ભાઈ હું તો સંજોગોવસાત હાજરી આપી શકવાનો નથી તો મારા તરફથી મારા પ્રતિનિધિ તરીકે તમે તો જશો તેવી અપેક્ષા રાખી શકું?

પ્રાપ્તિસ્થાન
*અશોક પ્રકાશન મંદિર : રતનપોળની સામે, ગાંધી રોડ, અમદાવાદ ફોન- ૦૭૯-૨૨૧૪-૦૭૭૦
* નવભારત સાહિત્ય મંદિર : ૧૩૪ પ્રિન્સેસ સ્ટ્રીટ. શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ-૪૦૦૦૦૨ ફોન- ૨૨૦૧ ૭૨૧૩
* નવભારત સાહિત્ય મંદિર : જૈન દેરાસર પાસે, ગાંધી રોડ અમદાવાદ તથા ૨૦૨, પેલીકન હાઉસ, આશ્રમ રોડ અમદાવાદ
* બુક સેલ્ફ : ૧૬, સીટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે , અમદાવાદ.

સમજમાં નાં આવે આ સ્નેહબંધન Hard Truths About Human Nature.

સમજમાં ના આવે આ સ્નેહબંધન

યત્રનાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:|
યત્ર એતાસ્તુ ન પૂજ્યન્તે તત્ર સર્વા અફલા ક્રિયા:||

કહેનારનાં દેશમાં બુધે ઢોર પાંસરું, બુધે નાર પાંસરી કે ઢોલ ગંવાર શૂદ્ર પશુ નારી સબ તાડન કે અધિકારી એવું પણ કહેવાય છે. કેમ કે આવું કહેનારા મહાપુરુષો જુદા જુદા હોય છે. જ્યારે imagesનારીની પૂજા નથી થતી ત્યાં બધી ક્રિયાઓ અફળ જાય છે તેવું કહેનારનાં દેશમાં સ્ત્રીને ચૂંથીને એની યોનિમાં જીવલેણ સળિયા પણ ભોંકાયા છે. સ્ત્રીઓ પ્રત્યે જોવાનો દરેકનો નજરિયો અલગ અલગ હોય છે. અંગત ગાઢ સંબંધોમાં સામેની જાતિના વ્યક્તિ પ્રત્યે માનસન્માન અને એને ગમાડવાની લાગણી અનેક બાબતો વડે ઘડાતી હોય છે.

હેટરોસેકસ્યુઅલ-વિજાતીય સંબંધોમાં તમારા પ્રેમીજન બાબતે તમારું વલણ કેવું છે તેનો આધાર વિજાતીય વ્યક્તિઓ પ્રત્યે તમારું વલણ કેવું છે તેના ઉપર પણ આધાર રાખે છે. દાખલા તરીકે તમે પુરુષ હોવ તો તમારી પત્ની કે પ્રેમિકા પ્રત્યે વલણ કેવું છે તેનો આધાર સમસ્ત સ્ત્રી જાતિ પ્રત્યે કેવું વલણ છે તેના ઉપર પણ આધાર રાખે તેમાં નવાઈ નહિ.

સામાન્યતઃ પુરુષોનો સ્ત્રીઓ પ્રત્યે બે પ્રકારનો દ્રષ્ટિકોણ હોય છે, “hostile” and “benevolent” sexism. હૉસ્ટાઇલ એટલે દુશ્મનાવટભર્યું અને બિનૅવલન્ટ એટલે હિતકારી મદદકર્તા. સ્ત્રીને સ્ત્રી સમજવામાં કોઈ વાંધો નથી પણ સ્ત્રીને જાતિ કે લિંગના આધારે એના પ્રત્યે કંઈક અલગ વર્તાવ કરવો કે અણછાજતું વર્તન કરવું તેને અંગ્રેજીમાં સેક્સિઝમ કહેતા હોય છે. આવું અણછાજતું વર્તન કરનારને સેક્સિસ્ટ કહેતા હોય છે. Benevolent sexism જરા વિરોધાભાસી લાગશે. હિતકારી અણછાજતું વર્તન? સ્ત્રી પુરુષના સંબંધોમાં હિતકારી વલણ હકારાત્મક બાબત બની શકે. હિતકારી હોય કે શત્રુતાવાળું અણછાજતું તો અણછાજતું જ રહેવાનું. Sexism in any form is still sexism.

હૉસ્ટાઇલ સેક્સિસ્ટ એવું માનતા હોય છે કે સ્ત્રીઓ પ્રપંચયુક્ત હોય છે, એમને સ્પેશલ કાયદા કે આરક્ષણને લીધે અમારી જૉબ છીનવાય છે, સ્ત્રીઓ વિનાશક છે. નારી નરકની ખાણ કે બુધે નાર પાંસરી કહેનારા હૉસ્ટાઇલ સેક્સિસ્ટ હોય છે. સ્ત્રીઓના મુખ નાં જોવાય કહેનારા પણ સ્ત્રીઓ પ્રત્યે ચીડ, ગુસ્સો અને રોષના બંદરે નાવ લાંગરીને બેઠેલા હૉસ્ટાઇલ સેક્સિસ્ટ મહાપુરુષો જ છે. સ્વાભાવિકપણે સ્ત્રીઓ માટે સારા પાર્ટનર પુરવાર થવું આવા લોકો માટે મુશ્કેલ છે અને ખાસ તો આવું શત્રુતાવાળું વલણ રાખનારને સ્ત્રી પહેલા તો પસંદ જ ના કરે.

બિનૅવલન્ટ સેક્સિસ્ટ પુરુષો તો તમને ઠેર ઠેર મળી જવાના. બસમાં સ્ત્રી પ્રવેશ કરે ઊભા થઈને બેસવાની જગ્યા આપનારા પુરુષો તમને જોવા મળતા જ હશે. કોઈ અશક્ત કે જેને ખરેખર જરૂર હોય, જેવી કોઈ બાળકને તેડીને ઊભેલી સ્ત્રીને જગ્યા આપે તો બરોબર છે. બિનૅવલન્ટ સેક્સિસ્ટ ભલે એક રીતે સારા લાગે પણ ખરેખર આવા પુરુષો સ્ત્રી સ્વાતંત્ર્ય માટે વધુ જોખમી હોય છે. તેઓ સ્ત્રીને નાજુક, અસહાય, કમજોર સમજતા હોય છે. તેઓ સમજતાં હોય છે કે સ્ત્રીને હમેશાં પુરુષોના રક્ષણ નીચે જીવવું જોઈએ. સ્ત્રીને કાયમ પુરુષ પ્રટેક્શનની જરૂર હોય જ છે. સ્ત્રી પુરુષના રક્ષણ અને મદદ વગર જીવી જ ના શકે. સ્ત્રીએ હમેશાં પુરુષોની આજ્ઞામાં રહેવું જોઈએ જેથી એમનું રક્ષણ થાય. એકંદરે આવા. બિનૅવલન્ટ સેક્સિસ્ટ પુરુષોની નિશ્રામાં જીવતી સ્ત્રીઓ પણ માનતી થઈ જતી હોય છે કે એમને સતત રક્ષણની જરૂર છે. આમ કોઈપણ પ્રકારનું સેક્સિઝમ સ્ત્રીની મેન્ટલ હેલ્થ, એની કામ કરવાની ક્ષમતા, સુખની લાગણીઓ વગેરે માટે હાનિકારક હોય છે.

હૉસ્ટાઇલ સેક્સિસ્ટ તો તરત પરખાઈ જતો હોય છે. Non-sexist અને બિનૅવલન્ટ સેક્સિસ્ટ વચ્ચે ભેદ પારખવો બહુ મુશ્કેલ હોય છે. દીકરીને ગાય દોરે ત્યાં જાય કહેનારો આપણો તો ઍવરિજ આખો સમાજ સ્ત્રીઓના હિત માટે એની સાથે અણછાજતું વર્તન કરનારો ( બિનૅવલન્ટ સેક્સિસ્ટ) છે. પહેલા સ્ત્રી નાની હોય ત્યારે માતાપિતા ભાઈઓના રક્ષણ હેઠળ જીવવાનું, પછી પતિના રક્ષણ હેઠળ જીવવાનું પછી ઘરડી થાય એટલે પુત્રોના રક્ષણ હેઠળ જીવવાનું.images=-==

Non-sexist બિનજરૂરી ભાવ બતાવનારો કે સ્ત્રીના કામમાં મદદના બહાને પણ બિનજરૂરી દખલ દેનારો હોય નહિ. સ્ત્રીને સ્ત્રીનું કામ કરવા દો જરૂર પડશે તો મદદ કરીશું. સ્ત્રી એના પગ ઉપર ઊભી રહેવા પૂરતી સક્ષમ અને સ્વતંત્ર છે. ઓશો કહેતા કે બાળકોના હિત માટે ફાયદા માટે ભલા માટે આપણે આપણા બાળકો ઉપર ઘણી ક્રૂરતા આચરતા હોઈએ છીએ. એવી રીતે સ્ત્રીઓના ભલા માટે મદદ માટે આપણે એમની સાથે ક્રૂરતા કરતા હોઈએ છીએ પણ એ માનવું મુશ્કેલ છે.

આ સિવાય સ્ત્રી પુરુષ વચ્ચે સ્નેહબંધનનો પ્રકાર હોય છે જેને attachmentstyle કહેતા હોય છે. સ્ત્રીપુરુષના સંબંધો બહુ કૉમ્પ્લેક્સ હોય છે. Attachment style રોમૅન્ટિક રિલેશનશીપ તરફ આગળ વધતા તમારા માતાપિતાએ તમારો ઉછેર કઈ રીતે કર્યો છે તેના પર આધાર રાખતી હોય છે. જો તમે બચપણમાં અવગણના, અનાદર સહન કર્યા હોય, પૂરતી સલામતી અનુભવી ના હોય તો મોટા થઈને તમારો પાર્ટનર તમને છોડી દેશે તેવું સતત લાગ્યા કરતું હોય છે. જો તમે તમારા માતાપિતા કે કેરગીવર પાસેથી પૂરતી સલામતી અને આદર અનુભવી ચૂક્યા હશો તો પુખ્તવયે તમારા પાર્ટનર માટે તમને ખૂબ વિશ્વાસ રહેવાનો જ છે. Attachment style-સ્નેહબંધન, અનુરાગમાં પણ secure-સલામત અને insecure-અસલામત એમ બે પ્રકાર માનવામાં આવતા હોય છે. Insecure અટૅચમંટ સ્ટાઇલમાં વળી મનોવૈજ્ઞાનિકો વધુ વિભાગ પાડતા હોય છે. Anxiously-આતુરતાપૂર્વક જોડાયેલા વળી અસ્વસ્થ કાયમ ગભરાતાં હોય છે. એમને કાયમ કોઈની જરૂર પડતી જ હોય છે. Avoidant અટૅચમંટ સ્ટાઇલ ધરાવતા લોકો વળી એમની અસલામતી અંતર રાખીને જતાવતાં હોય છે. કદી નજીક આવશે નહિ આમ એમના પાર્ટનર સાથે ઈમોશનલી નજદીકિયા રાખી શકતાં નથી.

High in hostile sexism લોકોને પ્રથમ તો સ્ત્રીને જો પસંદ કરવા દેવામાં આવે તો પસંદ કરતી જ નથી અને કદાચ રૉમૅન્સ ડિપાર્ટમેન્ટમાં યેનકેન પ્રકારે સફળ થઈ ગયા તો એમને hostile માંથી ધીમે રહીને benevolent sexist બનવા તરફ ઢળવું પડતું હોય છે. આવા લોકોને આ વિષયમાં સંશોધન કરનાર Union College social psychologist Joshua Hart પરસ્પર વિરોધી લાગણીવાળા ambivalent sexist કહે છે.

આતુરતાપૂર્વક સ્નેહબંધનમાં જોડાયેલાં ચિંતાતુર લોકો બિનૅવલન્ટ સેક્સિસ્ટ બની જતા હોય છે. જ્યારે ઉપેક્ષિત થયેલા સ્નેહબંધનમાં હૉસ્ટાઇલ સેક્સિસ્ટ બની જાય તો નવાઈ નહિ. Anxiously attached મહાપુરુષોની સ્થિતિ વળી બહુ કૉમ્પ્લિકેટેડ હોય છે. દિલોજાન દોસ્ત વગર જીવી જ નહિ શકાય તેવું માનતા હોય છે. તેમની સ્ત્રીઓને છેવટે benevolent sexism ની પગદંડી ઉપર મૂકી દેતા હોય છે. આમ સ્ત્રીઓને પરતંત્ર બનાવી દેતા હોય છે. પત્ની સાથે Anxiously attached મહાપુરુષ કહી ગયા છે કે ઢોલ, ગંવાર, શૂદ્ર, પશુ, નારી સબ તાડન કે અધિકારી…

બેસ્ટ રોમૅન્ટિક પાર્ટનર એ છે કે જે સલામતી અનુભવતો સ્નેહબંધનમાં જોડાયેલો સ્ત્રીઓ પ્રત્યે સાનુકૂળ વલણ ધરાવતો હોય હિતકારી બનવાની આડમાં સ્ત્રીની સ્વતંત્રતા ઉપર તરાપ મારે નહિ. જો કે આ બધી વાતો ભારતીય સમાજ માટે ગળે ઊતારવી અઘરી પડશે. કારણકે કહેવાતા ઉચ્ચ આદર્શો, સમાજમાં દાખલા બેસાડવાના બહાના, રાજધર્મ, પ્રજાધર્મ વગેરે વગેરે અનેક બહાને અને છેવટે સ્ત્રીઓના લાભ માટે સ્ત્રીઓ ઉપર જુલમ ગુજારવામાં કશું બાકી રાખ્યું નથી. અગ્નિપરીક્ષા લીધી તો કહે સમાજમાં દાખલો બેસાડવાનો છે. અલ્યા કયો દાખલો? શેનો દાખલો? એનો કોઈ વાંક તો બતાવો? ગર્ભવતીનો ત્યાગ તો કહે સમાજમાં દાખલો બેસાડવાનો છે. અલ્યા ભાઈ પાછો શેનો દાખલો? ધોબીએ મહેણું માર્યું હતું. તો જાવ ધોબીને એક લાફો મારો અને સમાજમાં દાખલો બેસાડો. દાખલા જ્યાં બેસાડવાના છે ત્યાં નથી બેસાડવા અને જ્યાં નથી બેસાડવાના ત્યાં બેસાડીએ છીએ

 

સોમવારની સવાર ઉદાસી કે નામ..

imagesસોમવારની સવાર ઉદાસી કે નામ..
જો કે ઘણા બધા માટે તો રવિવારની સાંજ જ ઉદાસી વડે છવાઈ જતી હોય છે કે સાલું કાલે સોમવાર સવારે વહેલું ઊઠીને કામે જવું પડશે. સોમવારની કામ પર જવાની ચિંતા રવિવાર સાંજથી જ ચાલુ થઈ જાય. એ ચિંતામાં તો અમેરિકામાં રવિવાર સાંજે લીકર સ્ટોરો ઉપર દારૂનું વેચાણ પણ ઓછું થઈ જતું હોય છે. આમ સોમવાર મોટાભાગના લોકોને ઉદાસ લાગતો હોય છે. અમેરિકામાં તો વિકએન્ડનું ખૂબ મહત્વ. શુક્રવારથી આપણને મળતા લોકો હૅપી વિકેન્ડની દુવાઓ દેતા થઈ જતા હોય છે. શુક્રવારે બૅન્કમાં જઈને છુટા પડતા રૂપાળી ક્લાર્ક મીઠું મલપતી હૅપી વિકએન્ડ અવશ્ય બોલવાની. સોમવાર જેમ ઉદાસ લાગતો હોય છે તેમ શુક્રવાર ઉત્સાહી લાગતો હોય છે કે ચાલો આજે છેલ્લો દિવસ કાલથી બે દિવસની રજા.

મને એક ભાઈ શુક્રવારે બોલ્યા કે આજે છેલ્લો દિવસ, હું તો ચમકી ગયો. કે શું થયું? મેં પૂછ્યું કાલથી જૉબ નથી આવવાનાં? બીજે જૉબ મળી? તબિયત તો સારી છે ને? હું તો મનમાં ગભરાઈ ગયેલો કે સ્વર્ગમાં જતા એ.સી. બોગીમાં બુકિંગ કરાવી નાખ્યું છે કે શું? કે પછી સદેહે સ્વર્ગમાં લઈ જવાની ગેરંટી આપતા સ્વામી સજીવન થયા કે શું? તો કહે નાં યાર ! આજે શુક્રવાર કામનો છેલ્લો દિવસ ને? અહાહાહા

શુક્રવાર સાંજે અહીં ડોક્ટર્સ ઓફિસો વહેલી બંધ થઈ જતી હોય છે. આપણા ગુજરાતી-ભારતીય ડોક્ટર્સની વાત નથી કરતો. એ લોકો તો શનિ-રવી પણ એમના સેવાકેન્દ્રો ખુલ્લા રાખીને બેસતા હોય છે જેથી પ્રજાને કોઈ તકલીફ ના પડે. શુક્રવાર સાજ અહીં દારૂની દુકાનો ઉપર જબરદસ્ત વકરો થવાની સંભાવના લઈને આવતી હોય છે. અમેરિકન્સ એમાય સ્પેનીશ લોકો ખાસ, શુક્રવાર સાંજથી બીયર પીવાનું શરુ કરી દેતા હોય છે. એમાં ફાયદો ન્યુ જર્સીમાં તો આપણા ભારતીયોને જ છે કારણ? અરે! ન્યુ જર્સીમાં મોટાભાગના લીકર સ્ટોર આપણા ભારતીયોના એમાય ગુજરાતીઓના એમાય પટેલોના છે. હહાહાહાહા

સોમવાર સવારે સ્કૂલમાં જવાનું બાળકોને આકરું પડતું હોય છે કેમકે રવિવારે જલસા કર્યા હોય ને? ગૃહિણીઓને શનિ-રવિ સાસ-વહુની એકતા કપૂરની સીરીયલો જોઇને જે મજા લીધી હોય, મુવી જોયા હોય, ટૅલેન્ટ હન્ટ પ્રોગ્રામની ભરમાર જોઈ હોય તેમને આ સોમવાર ક્યાંથી આવ્યો એવું લાગતું હોય છે.

Sy-Miin Chow of University of Virginia નું રિસર્ચ એવું કહે છે કે સોમવારની ઉદાસી માટે કામ પર જવાની બાબતમાં નકારાત્મક વલણ કારણભૂત નથી, પણ વિકેન્ડમાં જે ઉલ્લાસ અનુભવ્યો હોય છે તે ઓછો થઈ જાય છે તે કારણભૂત છે. મતલબ કામ પર ચડવું પડશે તેની ઉદાસી હોતી નથી પણ જે આનંદ ઉલ્લાસનો પ્રચંડ ભાવાવેશ અનુભવ્યો હોય છે તે ઓછો થઈ જાય છે તેની ઉદાસી સોમવારે આવતી હોય છે. કામચોરોની વાત જુદી છે. કામચોર માટે પ્રત્યેક દિવસની સવાર ઉદાસી લઈને જ ઊગતી હોય છે. શનિ-રવિ મોજ મજા સાથે જોડાયેલા હોય છે. એક જાતનું માઈન્ડ કંડીશનિંગ થઈ જતું હોય છે. સંશોધકોના કહેવા પ્રમાણે આપણા બ્રેઈનમાં ડ્રમ પર પડતી તાલબદ્ધ થાપટોની જેમ ઉલ્લાસ અને ઉદાસીની થાપટો નિયમિત પડતી હોય છે. એ બે થાપટો વચ્ચેનો સમય ગાળો દરેક માનવીનો અલગ અલગ હોય છે. આમ ઉલ્લાસ અને ઉદાસીના તબલાં આપણી અંદર તાલબદ્ધ વાગ્યાં કરતાં હોય છે.

એક અભ્યાસ એવું પણ કહે છે કે સોમવારે આપઘાતનું પ્રમાણ વધુ હોય છે. પણ અમેરિકાનો એક અભ્યાસ એવું પણ જતાવે છે કે અમેરિકામાં બુધવાર આપઘાત કરનારાઓ માટે ફેવરીટ છે. Augustine Kposowa, a sociology professor at the University of California નું કહેવું એવું છે કે જૉબ સ્ટ્રેસ ધીમે ધીમે વધતો બુધવાર જેવા વચ્ચેના દિવસે ટોચ ઉપર એવો પહોચી જાય કે હેન્ડલ કરવો મુશ્કેલ લાગી શકે. ગુરુવારથી તો રાહત થવા લાગતી હોય કે ચાલો હવે કામ કરવા માટે એક શુક્રવાર જ આડો રહ્યો છે પછી તો આરામ જ છે. સંખ્યાબંધ સંશોધન બતાવે છે કે સોમવારે કાર્ડીઓવસ્ક્યુલર રિસ્ક વધી જતું હોય છે. મતલબ સોમવારે હાર્ટઍટેક અને સ્ટ્રોક આવવાની શક્યતા વધુ હોય છે. કામ પર પાછાં ફરવાનું ભારણ ભલભલાંને ઍટેક લાવી દે તેવું હોય છે. પણ જેને કામ કરવામાં રાહત મળતી હોય એવા કામગરા લોકોને વળી સોમવારે હાર્ટએટેકનું જોખમ ઘટી પણ જતું હોય તેવું પણ એક અભ્યાસમાં જણાયું છે. આવી સરખી શક્યતાઓ રિટાયર લોકો માટે પણ હોય રહેતી હોય છે. નિવૃત્તિ ઍટેક લાવી શકે છે અને નિવારી પણ શકે છે. એક અભ્યાસ એવું પણ બતાવે છે કે વીકેન્ડમાં ખૂબ પીધું હોય વધુ પડતા જલસા કર્યા હોય તો બી.પી. વધીને સોમવારે કાર્ડીઓવસ્ક્યુલર રિસ્ક વધી જતું હોય છે. આમ એકંદરે સોમવાર જોખમી તો ખરો.

જો તમે તમારા કામને ચાહતાં હશો તો સોમવાર ઉદાસ જરાય નહિ લાગે. જે ગૃહિણીઓ એમના બાળકોની સારસંભાળમાં કાયમ રહેતી હોય તેને સોમવારે રાહત લાગવાની.. થોડીક સેલ્ફ-અવેરનેસની જરૂર છે. આપણી અંદર વાગતા ઉલ્લાસ અને ઉદાસીના તબલાની રીધમ જાણી લેવી જરૂરી છે. આપણી વિશિષ્ટ પ્રકૃતિને લગતી રીધમ ઓળખી લેવી હિતાવહ છે.

એક બીજા સાથેની સરખામણી-comparing mind ઉદાસીમાં, દુખમાં વધારો કરતી હોય છે. પાડોશી બહુ ઉલ્લાસથી ભરેલો દેખાતો હોય પણ એના દુખ અલગ હોય છે તે આપણને દેખાતા નથી. સુખી અને સંપૂર્ણ દેખાતા જોડા પણ અંદરથી દુખી હોય કોણ જોવા જાય છે? અબજપતિના એના પોતાના દુખ અને ઉદાસી હોય છે. મુકેશ અંબાણી આપણા કરતા વધુ સુખી હશે? જરાય નહિ..બુદ્ધ કહેતા દુખ્ખ- suffering એનાથી કોઈ મુક્ત હોતું નથી. બીમારી, ઈજા, ઘડપણ, પ્રિયજનોની જુદાઈ દરેકને પીડતી હોય છે, અબજપતિ પણ એનાથી મુક્ત હોતો નથી. આપણે આપણા અનુભવો અને ભૂતકાળના માઈન્ડ કંડીશનિંગની પ્રોડક્ટ છીએ. આપણે બાળકોને કાયમ કહ્યા કરીએ કે આ બરોબર નથી તે બરોબર નથી તો એનું માઈન્ડ કંડીશનિંગ થઈ જવાનું કે તે જે પણ કરે છે તે બરોબર નથી અને તેની પ્રત્યેક સવાર એક ઉદાસી લઈને ઊગશે. આપણા વડીલોએ પણ આપણા માટે આજ કરેલું હશે..હહાહાહાહા …. ક્યારેક તો બાળકો સારું કામ કરતા જ હશે ને? કોઈવાર ભૂલ થાય તો ટોકવું અને કાયમ ટોકવું બેમાં ફરક હોય છે. વડીલોને એક વહેમ હોય છે કે પોતે કરે અને માને તે મહાન હોય છે. યુવાનો કરે તે હંમેશા ખોટું હોય તેવો વહેમ લઈને પણ કેટલાક વડીલો ફરતા હોય છે. આપણી ઉદાસીના, દુખના ઊંડા મૂળિયા આ કંડીશનિંગમાં છુપાયેલા હોય તો જાણી લેવા સારા..

દુખ અને ઉદાસીને દૂર કરવા ફોર્સ કરવો એને બળ આપવાનું કામ કરતો હોય છે. દુઃખ અને ઉદાસીને પ્રેમ કરવામાં પણ જોખમ છે, પછી જશે જ નહિ. એની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો. આવો પધારો હું ઓળખી ગયો છું તમને, બેસો અને ચા પીને રવાના થઈ જાવ. એટલાં માટે બુદ્ધે પ્રેમ શબ્દ ઉપર ભાર મૂક્યો નથી. બુદ્ધ જન્મ્યા હશે ત્યાં સુધીમાં પ્રેમ શબ્દનો અર્થ બદલાઈ ગયો હશે માટે એમણે પ્રેમના બદલે ‘કરુણા’ અને ‘મૈત્રી’ શબ્દ આપ્યો. આખી દુનિયામાં આજ સુધીમાં બે સૌથી મહાન ડાહ્યાં માણસો ભારતમાં જન્મ્યા ભલે આપણે એમની કદર ના કરી કે એમના ડહાપણનો જોઈએ તેવો લાભ લીધો નહિ. એક હતા બુદ્ધ અને બીજા હતા મહાવીર. મહાવીરે પણ રાગ નહિ વિરાગ નહિ અને ‘વિતરાગ’ શબ્દ આપ્યો. દુઃખ અને ઉદાસી વેધરની જેમ જીવનના એક ભાગ છે. ચોમાસું આવે છે થોડા મહિના રહીને જતું રહે છે. ઉદાસી મનમાં ઉદ્ભવે છે થોડી ક્ષણો ટકે છે અને પછી જતી રહે છે.

ઘણીવાર વાતાવરણ કે સ્થળ બદલાઈ જાય તો મૂડ બદલવામાં મદદરૂપ થઈ જાય તેવું પણ બનતું હોય છે. કોઈ પસંદગીની જગ્યાએ ફરી આવીએ કે કોઈ બગીચામાં લટાર મારી આવવામાં ઉદાસી ગાયબ થઈ જાય. તિબેટન બૌદ્ધિષ્ટ ટીચર Pema Chödrön કહે છે દુઃખ અને ઉદાસીનો આસ્વાદ બધા માટે સરખો જ હોય છે. એવા કોઈ સ્ટ્રગલ કરતા બીજા માનવીને મદદ કરીએ તો સમજાય કે આપણે એકલાં નથી આ જગતમાં જેને દુઃખ અને ઉદાસી પીડા આપી રહી છે. એનું દુઃખ દૂર કરવાના પ્રયત્નોમાં આપણું ક્યારે ગાયબ થઈ જાય ખબર પણ ના પડે.

ઉદાસીના સમયને આનંદ કે હળવી મજાનો સમય પણ બનાવી શકાય. ગમતા મુવી જોઈ શકાય, ચિત્ર દોરી શકાય, ચેસ રમી શકાય, ગમતું સંગીત સાંભળી શકાય, આ સોમવારની ઉદાસી ક્યાંથી ક્યાં ખેંચી ગઈ? હહાહાહાહા