જોડે રેજો રાજ-૨. Hard Truths About Human Nature.
પુરાણોમાં મુક્તાચાર, ભાઈ બહેનના સમાગમ સંબંધો, પોતાની સ્ત્રી મિત્ર કે મહેમાનને અર્પણ કરવી, ગુરુપત્ની સાથે સમાગમ, બહુ પુરુષ ગમન, બહુ સ્ત્રી ગમન, પ્રાણીઓ સાથે સમાગમ, હંગામી સંબંધો, કન્ટ્રેક્ટ મૅરેજ જેવા અનેક દાખલા જોવા મળશે. વસિષ્ઠ અને અગત્સ્ય ઋષિ બંને એક જ માતાના જુદા જુદા પિતા દ્વારા પેદા થયેલા ભાઈઓ હતા. એ સમાજ આજના જેટલો દુષ્ટ ઑર્થોડૉક્સ સમાજ નહોતો. એ સમાજ આજના જેટલો પ્રેમીઓનો દુશ્મન નહોતો.
સ્ત્રી પુરુષના સંબંધોમાં ધીમે ધીમે ઇવલૂશન થતું ગયું. શરૂમાં આપણે જોયું કે ભાઈ બહેન જ સમાગમ કરીને સંતતિ પેદા કરતા હતા. ચાલો મહાભારતમાં શાંતિ પર્વમાં ભીષ્મ પિતામહ શું કહે છે તે જોઈએ.
नचैषांमैथुनोधर्मोबभूवभरतर्षभ।
संकल्पादेवचैतेषांगर्भःसमुपपद्यते।। — 12-206-42
ततस्रेतायुगेकालेसंस्पर्शाज्जायतेप्रजा।
नह्यभून्मैथुनोधर्मस्तेषामपिजनाधिप।। — 12-206-43
द्वापरेमैथुनोधर्मःप्रजानामभवन्नृप।
तथाकलियुगेराजन्द्वन्द्वमापेदिरेजनाः।। — 12-206-૪૪
” હે ભરતશ્રેષ્ઠ, પ્રાણીઓનો વંશ સાશ્વત (ચિરસ્સ્થાયી) બનાવવા માટે સંભોગ જરૂરી નથી. એ દિવસોમાં સંતતિ (સંતાન-અપત્ય-ગર્ભ) સંકલ્પમાત્રથી થતી હતી.
તે પછીનાં યુગ, ત્રેતાયુગમાં, પ્રજા (સંતાન) સ્પર્શમાત્રથી થતી. એ યુગનાં લોકોને, હે રાજન, સંભોગની જરૂર ન હતી.
હે રાજન, દ્વાપરયુગમાં મનુષ્યોમાં સંભોગની ક્રિયાનું પ્રચલન થયું. અને કલિયુગમાં હે રાજન, લોકો લગ્ન કરી અને જોડલું બનાવી રહેતા થયા.”
ભીષ્મ પિતામહ ઉપર મુજબનું જ્ઞાન યુધિષ્ઠિરને આપતા હોય છે. એક નોંધવા જેવી વાત એ પણ છે કે ભીષ્મ પિતામહે પણ આ જ્ઞાન બીજા દ્વારા મેળવેલું છે, લગભગ વ્યાસ દ્વારા. એમના કહેવાનો ભાવાર્થ એવો છે કે સતયુગમાં સમાગમની જરૂર નહોતી પડતી ખાલી સંકલ્પ કરવાથી સંતતિ પેદા કરી શકાતી, ત્રેતાયુગમાં સંકલ્પથી આગળ વધવું પડ્યું કે સ્પર્શ માત્રથી સંતતિ પેદા કરી શકાતી, દ્વાપર યુગમાં સંભોગ શરુ થયો, પણ હજુ લગ્નવ્યવસ્થા જેવી કોઈ વ્યવસ્થા નહોતી, કળિયુગમાં લોકો લગ્ન કરી જોડલું બનાવીને રહેવા લાગ્યા.
એક વાત નક્કી છે કે સંકલ્પ કે ઇચ્છા માત્ર થવાથી છોકરા પેદા નાં થાય. સ્ત્રી પુરુષના સમાગમ વગર સંતતિ પેદા નાં થાય. ખાલી સ્પર્શ કરવાથી પણ સંતતિ પેદા ના કરી શકાય. વળી આ જ્ઞાન પણ ભીષ્મ પિતામહે બીજા દ્વારા મેળવેલું છે. ઘણી ખોટી માન્યતાઓ હજારો વર્ષોથી ચાલી આવતી હોય છે. જેમ કે પૃથ્વી શેષનાગ ઉપર છે, હર્ક્યુલસે ઉચકેલી છે, સપાટ છે વગેરે વગેરે. હજુ આજે પણ જૈન સાધુઓ માટે પૃથ્વી સપાટ જ છે.
સજીવોના થયેલા ઇવલૂશન મુજબ જોઈએ તો એક કોશી સજીવો માટે સંભોગની ક્યાં જરૂર છે? સંકલ્પ પૂરતો છે એક માંથી બે થવા માટે. તો માછલાં અને તેમના જેવા અનેક સજીવોને પણ કહેવાતા સંભોગની જરૂર નથી હોતી. માદા ઈંડાનો ઢગલો મૂકી દે તેના પર નર આવીને તેના સ્પર્મ છોડીને જતો રહે. આ ખાલી સ્પર્શ જ થયોને? અને બીજા પ્રાણીઓ ક્યાં લગ્ન કરે છે? માનવ પણ હમણાં સુધી લગ્નના બંધન વગર સંતતિ પેદા કરતો જ હતો ને?
સૂક્ષ્મ અર્થમાં જોઈએ તો સતયુગમાં માનવો આદિમાનવ હોવા જોઈએ, અથવા થોડા સુધરેલા. કોઈ જોડી કે પેઅર બૉન્ડિંગ જેવું હશે જ નહિ. બે જણા વચ્ચે ઇચ્છા પેદા થઈ કે સીધા સંભોગમાં ઊતરી જતા હશે. ત્રેતાયુગમાં માનવ આગળ વધ્યો, સ્પર્શ વડે ઇચ્છા જતાવવાનું શરુ થયું હશે. હાથમાં હાથ પકડીને ફરવાનું શરુ થયું હશે. એમાંથી પાણીગ્રહણ વિધિ ઉદ્ભવી હોવી જોઈએ. દ્વાપર યુગમાં કાયદેસર સંભોગ શરુ થયા હશે પણ લોકો જોડીઓ બનાવતા હશે પણ લગ્ન જેવી વિધિ કરતા નહિ હોય. કળિયુગમાં લોકો લગ્ન કરીને જોડી બનાવીને રહેવા લાગ્યા, જે હજુ ચાલુ છે.
આજે આપણે ભાઈ બહેન સંભોગ દ્વારા સંતતિ પેદા કરતા જાણી આંચકો ખાઈ જઈએ છીએ, અરે સમ્રાટ જનમેજય પણ આવી વાતો સાંભળી ધ્રૂજી ઊઠેલા ત્યારે વૈશમ્પાયન ઋષીએ એમને શાંત પડેલા કે ‘હે રાજન ! પ્રાચીન સમયમાં તે યુગ-ધર્મ હતો’
ભીષ્મની વાતો સાવ નાંખી દેવા જેવી નથી. સત્યનો અંશ એમાં જરૂર છે. પૃથ્વી સપાટની ગોળ ભલે બની પણ પૃથ્વી હતી તો સપાટની ગોળ બની ને? જૈન મુનિઓ માટે પૃથ્વી છે તેટલું જ ગનીમત છે. એક તો પહેલા મજબૂત નરને જ નારી મળે તેવી કુદરતી વ્યવસ્થા હતી. કોઈ લગ્ન વ્યવસ્થા હતી નહિ. ઉદાલક મુનિનો પુત્ર શ્વેતકેતુ ખૂબ નાનો હતો. પણ બુદ્ધિશાળી હતો. એ સમયે લગ્નના પવિત્ર બંધન હતા જ નહિ. એક ઉદાલક કરતા વધારે વિદ્વાન બ્રાહ્મણ આવ્યો અને ઉદાલકની સ્ત્રીને કહે ચાલ મારી સાથે. સ્ત્રી એટલાં માટે લખું છું કે લગ્ન વ્યવસ્થા આવી પછી પત્ની શબ્દ આવ્યો. બ્રાહ્મણોમાં મજબૂત કોણ કહેવાય? જે વધારે વિદ્વાન હોય તે. પેલી નાના શ્વેતકેતુને અને ઉદાલકને મૂકી ને ધરાર ચાલી ગઈ. બસ નાના શ્વેતકેતુનાં મનમાં થયું કે આ કેવું? એણે મોટા થઈને લગ્નવ્યવસ્થાની રચના કરી. અને પવિત્રતાનાં વાઘા પહેરાવી દીધા.
વધુ આવતે અંકે—-
નોંધ:– મિત્રો આ શ્રેણી માટે ઉપયોગી માહિતી પૂરી પાડવા બદલ મિત્રો શ્રી ચિરાગ પટેલ, ડો શ્રી હિતેશ મોઢા અને શ્રી અશોક મોઢવાડીયાનો ખુબ આભારી છું.