સુખની જૈવિક પરિભાષા
આપણા મેમલિઅન પૂર્વજોનાં જીવનમૃત્યુ વિશેના ભયાનક અનુભવો થકી આપણું બ્રેન સુખદુઃખ અર્પતા રસાયણો મુક્ત કરે છે અને તેના વડે સુખની, આનંદની કે દુઃખની અનુભૂતિ થાય છે તે હકીકત છે. આ હકીકત માનવીય લાગણીઓ માટે ધ્રુજાવે તેવું સત્ય છે. સુખ અર્પતા દરેક કેમિકલનો હેતુ સર્વાઇવલ માટેનો હોય છે. બ્રેન જ્યારે કોઈ ખાસ ફરજ બજાવવાની હોય ત્યારે જ હૅપી કેમિકલનો એક નાનો ડૉસ રિલીસ કરતું હોય છે. આમ આપણને તો સદા સુખનો અનુભવ કરવો હોય છે, પણ તે શક્ય બનતું નથી. જો આ કેમિકલ્સ વિષે સામાન્ય સમાજ આવી જાય તો કોઈ ફિલૉસફી ના કરી શકે તે કામ આ સમજ કરી શકે તેમ છે.
બીજા પ્રત્યે શુભ ભાવના પેદા થવી તે માટે મૅમલ બ્રેન ઈવૉલ્વ થયેલું છે. આપણાં સરીસર્પ પૂર્વજો બીજા માટે સારું ફિલ કરતા નથી. સર્વાઇવલ માટે કામ લાગે તે માટે થઈને મૅમલ બ્રેને હકારાત્મક ન્યુરો કેમિસ્ટ્રી વિકસાવેલી છે. છતાં કાયમ માટે બીજા મૅમલ ભાઈઓ માટે સદા હૂંફાળી અને પ્રેમાળ લાગણી પેદા થાય નહિ તે પણ હકીકત છે. આમ સર્વાઇવલ ઘણા બધા પરિબળો ઉપર આધાર રાખતું હોવાથી મૅમલ બ્રેન કાયમ નિર્ણય લેવા ટેવાયેલું હોય છે કે એના માટે સારું કોણ છે કે જેના વડે સર્વાઇવલ માટે સહાય બને.
નાનું બ્રેન ધરાવતા મૅમલ ખોરાક, સાથીદાર (Mates), અને પ્રિડેટર એટલે કે હુમલાખોર વિષે ત્વરિત નિર્ણય લઈ લેતા હોય છે. પ્રાણીઓ ખોરાકની શોધમાં નીકળે તો હુમલાખોરની શક્યતા પણ વધી જાય. છતાં ખોરાકની શોધમાં નીકળવું તો પડે જ. હવે કયું અગત્યનું તે નિર્ણય લેવાનું કામ બ્રેને કરવું પડે. જેમ બ્રેન વધુ મોટું તેમ સામાજિક જોડાણ વધતું જાય છે. સામાજિક જોડાણ સંભવિત પ્રિડેટર થી બચાવે છે, અને સાથે સાથે ખોરાક અને સાથીદાર માટે હરીફાઈ પણ વધારે છે. આમ બ્રેન દરેક ખૂણો તપાસીને નિર્ણય લેતું હોય છે. બ્રેન નિર્ણય કઈ રીતે લેતું હશે ?
આપણે ઘરમાં જરૂર પડે લાઈટ ઑન ઑવ કરીએ છીએ તેમ ન્યુરો કેમિકલ્સનો સ્ત્રાવ ઑન ઑવ કરીને બ્રેન નિર્ણય લેવા ટેવાયેલું હોય છે. હૅપી કેમિકલ્સ એક રસ્તો છે શરીર માટે જણાવવાનો કે આ વસ્તુ સારી છે હજુ વધુ મેળવો. આપણે જન્મ લઈએ ત્યારથી ન્યુરૉન્સ વિદ્યુત સંદેશા મોકલવાનું શીખી ગયા હોય છે. જેના વડે હૅપી કેમિકલ્સનાં સ્ત્રાવ થતા હોય છે. આમ એક ન્યુઅરલ સર્કિટ તૈયાર થતી હોય છે જે ભવિષ્યમાં ફરજ બજાવવા તૈયાર હોય છે.
માનવોની સુખની પરિભાષા બીજા મૅમલ પ્રાણીઓ કરતા અલગ હોય છે. માનવીની સુખ પામવાની રીત પણ બીજા પ્રાણીઓ કરતા અલગ હોય છે. પ્રાણીઓ એમના ભૂતકાળના અનુભવ પ્રમાણે પુનરાવર્તન કરતા હોય છે. જ્યારે મનુષ્ય નવા નવા રસ્તા શોધી કાઢવા ટેવાયેલો હોય છે. ભૂતકાળના અનુભવોમાં માનસિક રીતે તડજોડ કરીને મનુષ્ય નવા રસ્તા શોધી કાઢતો હોય છે. આમ ટૂંક સમયના સુખના બદલે લાંબા સમયનું સુખ મેળવવાની એની ખેવના વધતી જાય છે. કારણ એની પાસે બીજા પ્રાણીઓ કરતા વધુ મોટું બ્રેન અને વધુ ન્યુરૉન્સ છે.
પ્રાણીઓ સુખની કોઈ વ્યાખ્યા કરતા નથી. તેઓ સુખી નાં હોય તો વિચારતા નથી કે શું ખોટું થયું છે ? કે આ દુનિયાને શું થયું છે ? તેમને કોઈ આશ્ચર્ય થતું નથી. પણ મનુષ્ય પાસે ભૂતકાળના અનુભવ, વર્તમાન સ્થિતિ અને કાલ્પનિક ભવિષ્ય સાથે ટકરાઈ જવા માટે પુષ્કળ ન્યુરૉન્સ છે. જેથી મનુષ્ય નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે. આમ સુખની માત્રા ઓછી થઈ જાય ત્યારે કુદરતી એની રાહ જોવાને બદલે આપણે કશું કરવા માંગતા હોય છીએ. થોભો અને રાહ જુઓ, ગીતાકારે આને જ અનાસક્ત યોગ કહ્યો લાગે છે શું માનવું છે મિત્રો ?
હ્યુમન બ્રેન એક પૅટર્ન શોધી કાઢતું હોય છે. આ પૅટર્ન પ્રમાણે સુખનાં ફુવારા મેળવવાની કાયમ ઇચ્છા રાખતું હોય છે. ઘણીવાર આ પ્રમાણે બનતું પણ હોય છે, પણ ઘણીવાર આપણે ખોટા પડતા હોઈએ છીએ અને એનો અંત દુઃખ સાથે પરિણમતો હોય છે. નીકળીએ છીએ સુખની શોધમાં અને મળે છે દુઃખ. આપણું કૉર્ટેક્સ હૅપી કેમિકલ્સ ઉપર કોઈ પણ જાતનો કાબુ ધરાવતું નથી. તે ખાલી સંકેતો મેળવી શકે છે. આ પૅટર્ન ક્યારેક ગૂંચવાડા વાળી હોય છે, કારણ તે એક જુદી દુનિયામાં ઉત્ક્રાંતિ પામેલી હોય છે.
આપણાં ન્યુરો કેમિકલ્સનાં સુર તાલ આપણાં DNA માટે શું સારું છે તેની સાથે જોડાયેલ હોય છે. આપણાં પોતાના ઊંચા ખયાલ સાથે એને કોઈ લેવાદેવા નથી. એટલે સુખની શોધ દુઃખમાં પરિણમતી હોય છે. મૅમલ બ્રેન એવા નિર્ણય લેતું હોય છે જે કૉર્ટેક્સને ગલત લાગતા હોય છે, પણ લાંબા અંતરે જોઈએ તો DNA માટે સારા પણ હોઈ શકે. કોઈ સારા ઘરની દીકરી કોઈ મવાલી સાથે ભાગી જાય ત્યારે કૉર્ટેક્સને બહુ તકલીફ થતી હોય છે. પણ મોટાભાગે મૅમલ બ્રેઈન જીતી જતું હોય છે કેમકે તે હૅપી કેમિકલ્સ ઉપર કંટ્રોલ ધરાવતું હોય છે.
હા ! તો મિત્રો કેવી લાગી આ રાસાયણીક ગીતા ?
