બાબા બનાવે બાબલા.

બાબા બનાવે બાબલા.
  આમતો બાબાનો અર્થ સાધુ સંત કે ગુરુ થતો હોય છે, પણ ગુજરાતી  લેક્સિકોન ડિક્ષનરી મુજબ એનો એક અર્થ લૂંટારો થાય છે. લગભગ બાબાઓ લૂંટવાનું જ કામ કરતા હોય છે માટે આવો અર્થ ભાષા શાસ્ત્રીઓ ગણતા હશે. બાબો શબ્દ વળી નાના બાળક જે છોકરો હોય તેના માટે વપરાય છે. ગામમાં ઘણા દિવસે જઈએ તો મિત્રો, સગા સંબંધીઓ પૂછે પણ ખરા કે તમારા બાબલા શું કરે છે? શું ભણે છે? આપણાં દીકરાઓ વિષે પૂછતાં હોય છે. દીકરી હોય તો પૂછે  બેબલી શું કરે છે? આમ બાબાઓને મોટા નાના ભણેલા કે અભણ સૌ બાબલા બની રહે તેમાં જ એમનું ભલું દેખાતું હોય છે.
    મળથી છલોછલ ભરેલો નિર્મળ બાબુડીઓ પણ જબરો જાદુગર. એ ય તમારે બેઠો હોય મોટા કીમતી સિંહાસન ઉપર, બાબલાઓ અને બેબલીઓ વારાફરતી હાથમાં માઇક લઈને બોલતા હોય, એકાદ પ્રણામથી ચાલે નહિ, કોટી કોટી પ્રણામ, બાબા તમારી કૃપાથી નોકરી મળી, એડમીશન મળી ગયું, પગ સારો થઈ ગયો, બંગલો મળી ગયો, સમાગમમાં આવવા માટે પૈસાની કે ટીકીટની વ્યવસ્થા થઈ ગઈ. બાબુડીઓ સમાગમ કરે છે, સમાગમનો અર્થ સહવાસ, એકઠા થવું, સહયોગ, મેળાપ, મિલન, પરિચય, પાસે આવવું વગેરે વગેરે થતા હોવાથી કોઈએ એના પ્રચલિત અર્થમાં અનર્થ કરવો નહિ. જેમકે બાબાનો અર્થ લુટારો પણ થાય છે છતાં પહેલો અર્થ મનમાં તો સાધુ સંત જ આવવાનો.
     બાબા રામદેવ જેવી સેઈમ મોડસ ઓપરેન્ડી. બાબા પગના તળિયે કે ઘૂંટણમાં દર્દ હતું પણ કપાલભાતિ કરવાથી મટી ગયું. બાબા આર્થરાઈટીસ હતો પણ ભસ્ત્રિકા કરવાથી મટી ગયો. એજ માઇક અને એજ પ્રલાપ. ખેર પ્રાણાયામ બ્રીધિંગ ટેક્નિક તરીકે સારી વાત છે અને આયુર્વેદ પણ અમુક સામાન્ય દર્દોમાં ઘણો સારું કામ આપે છે. હર્બલ મેડીસીન તરીકે વિખ્યાત છે, ઓછામાં ઓછી સાઇડ ઇફેક્ટ સાથે ક્રોનિક દર્દોમાં ઘણું સારું પરિણામ આપે છે. મને સૂકી ખાંસી થાય તો કફ સિરપ કરતા સિતોપલાદિ ચૂર્ણ વધુ માફક આવે છે. મારું માઇગ્રેન અને સૂર્યાવર્ત કોઈ પેઇન કીલરથી મટતું નહોતું, આયુર્વેદે મટાડી દીધેલું. પણ કેન્સર કે હાર્ટ ઍટેક કે બીજા કોઈ ગંભીર રોગોમાં કામ ના પણ લાગે. જોકે અહી નિર્મળ બાબુડીઓ તો કોઈ દવા વગર અને હાથ પણ લગાડ્યા વગર જ બધું મટાડી દે તો નકામાં કડવા ચૂરણ શું કામ ફાંકવા??બાબા રામદેવ ચેતો??
       બાબુને  ગ્લોરીફાય કરતો બકવાસ બંધ થાય એટલે બાબુ કહેશે ચાલો કાળા કલરના પર્સ, વોલેટ બહાર કાઢો અને ખોલીને સામે ધરી રાખો, બાબો હાથ હલાવે, પર્સ ધરીને બેઠેલી બબૂચક જનતાના મુખ પરના ભાવ જોવાની  મજા આવે, લાલચુઓ વગર મહેનતે પર્સ પૈસાથી ભરી દેવાની ખેવના રાખતા જાણે હાલ પર્સ અને ઘરની તિજોરીઓ ભરાઈ જવાની. કોઈ બબૂચકને પ્રશ્ન મનમાં ઉદ્ભવે નહી કે બાબો એના ઘરની તિજોરીને કાળા રંગે રંગીને હાથ હલાવીને કેમ નથ ભરી દે તો? શા માટે સમાગમમાં હાજરી આપવાની તગડી ૨૦૦૦ રૂપિયા ઍડ્વાન્સમાં ફીસ વસુલે છે? એના બેંક એકાઉન્ટ નંબરમાં પૈસા ભરી દેવાના પછી SMS આવે, અને તે માટે મોબાઈલ નાં હોય તો પહેલા મોબાઈલ ખરીદો. સમાગમ વખતે બૅન્કમાં પૈસા ભર્યાનું ચલન રાખવાનું સાથે એક વેલીડ આઈડી પણ રાખવાનું. બાકી નો એન્ટ્રી. આટલાં બધા મહાન બાબા હોય તે દેશ આજે ગરીબ અને લાખો લોકો પાસે નાં ઘર છે નાં પૂરું ખાવાનું.
   વર્ષો પહેલા હું નાનો હતો ત્યારે વિજાપુરમાં રહેતા હતા. તે સમયે ખેરાલુ બાપુનું વાવાઝોડું ટૂંક સમય માટે આવેલું. બાપુ પાણીમાં ફૂંક મારીને પીવા આપતા અને લોકોના અસાધ્ય રોગ મટી જતા. કદાચ બાપુના પવિત્ર મુખમાં રહેલા બેક્ટેરિયા રોગ મટાડવાનું દુર્લભ કામ કરતા હશે. ઘેલા ગુજરાતમાં વળી પૂછે કોણ? ધંધો એટલો બધો ચાલ્યો કે વ્યક્તિગત પાણીના શીશામાં ફૂંક મારીને બેક્ટેરિયા ફેલાવવાનો સમય ઓછો પાડવા લાગ્યો. તો બાપુએ મેદાનમાં લોકોને એકઠા કરીને માઇલો સુધી પહોચે તેવી ફૂંક મારવાનું શરુ કરેલું. અમારી પડોશમાં એક પી.ડબ્લ્યુ.ડી. ખાતામાં નોકરી કરતા સિવિલ એન્જીનીયર રહેતા હતા, તે વળી આખી જીપ ભરીને પાણીના બાટલા લઈને ત્યાં પહોચી ગયેલા. બાપુએ બે માઈલ  દૂરથી ફૂંક મારીને પાણી પવિત્ર કરી નાખેલું. જાણે ઇડરિયો ગઢ જીતીને આવ્યા હોય અને પરોપકાર કરતા હોય તેમ આખા દેવાણી વાસમાં આ પાણીની બોટલો ફ્રીમાં આપેલી. મારા ઘેર પણ એક બોટલ ભેટ આવેલી. મને ત્યારે પણ હસવું આવતું  હતું અને આજે પણ આવે છે.
     એક મિત્રે આખી જીંદગી ગુરુજી સેવા કરેલી. લાખ રૂપિયાનો ધંધો બગડતો હોય તો બગડવા દે, પણ ગુરુજીનો ફોન આવે તો તરત અમદાવાદ દોટ મુકે. પાર્ટનરે ૧૨ લાખનો ચૂનો ચોપડ્યો તો ગુરુજીએ હાથ ઊંચા કરી દીધા કે કરમ તો ભોગવવા પડે, દેવું ઓછું થયું વહેલું વૈકુંઠ મળશે.
   બાબાઓ પ્લસીબો Placebo ઈફેક્ટનાં જાણકાર હોય છે. irritable bowel syndrome પીડાતા કેટલાક દર્દીઓ ઉપર એક રીસર્ચ કરવામાં આવેલું. આ લોકોને જણાવેલું કે એક્ટીવ ઇન્ગ્રેડીએન્ટસ વગરની આ ટેબ્લેટ રોજ સવાર સાંજ બે વાર લેવાની છે. ૫૯ ટકા લોકોને ત્રણ અઠવાડિયા પછી રાહત થઈ ગયેલી. પ્લસીબો ઈફેક્ટનું એક્જેટ મીકેનીઝમ શું છે તે ક્લિયર નથી. પણ એની અસર થાય છે ખરી. માઈન્ડ કંડીશનિંગ પણ ભાગ ભજવે છે. શરીર શીખતું હોય છે કે એક કેપ્સ્યુલ ખાધી કે તરત રાહત થવાની ચાલુ. અરે પેલાં દર્દીઓને વૈજ્ઞાનિકો કહેલું પણ ખરું કે ગોળીઓ નકલી છે અને પ્લસીબો ઈફેક્ટમાં વિશ્વાસ રાખશો નહિ, છતાં કેટલાંને રાહત થઈ ગયેલી. Ted Kaptchuk નામના રીસર્ચરે હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં આ પ્રયોગ કરેલો.
   તમે કાર ચલાવતા હોવ અને આઇફોનમાં ઈમેલ કે ટેક્ટ મેસેજનો રણકાર સાંભળો તરત તમે પેલાં પાવલોવના કૂતરાની જેમ લાળ ટપકવાનું ચાલુ. પાવલોવ રશિયન વૈજ્ઞાનિક હતો. ચોક્કસ સમયે કૂતરાને ખાવાનું આપે ત્યારે ઘંટડી વગાડતો. પછી ખાવાનું આપ્યા વગર પણ ઘંટડી વગાડે કૂતરાની લાળ ટપકવાની ચાલુ. ઈમેલ કે મેસેજનો રણકાર સાંભળી બ્રેઈન “dopamine squirt ” રિલીજ કરતું હોય છે, જે આપણને ઉત્તેજિત કરતું હોય છે. જયારે તમે દવા સમજીને સુગર પીલ ખાઓ ત્યારે સારું લાગતું હોય છે, દર્દમાં રાહત લાગે. રાહતની લાગણી કરતા કૈક વધુ બની રહ્યું છે, ખરેખર તમારું શરીર એન્ડોર્ફીન્સ રિલીજ કરતું હોય છે, ભલે નકલી ગોળી લીધી હોય. Every mental process is represented in the brain . બ્રેઈનમાં કશી હલચલ નાં થાય તો placebo પણ કઈ કામ ના કરે.
  ન્યુરોસાયન્સ શું છે? બ્રેઇનમા શું ચાલે છે તેનો અભ્યાસ છે. પણ મોટાભાગે આપણે જાણતા નથી કે dopamine અને સેરોટોનીન વચ્ચે શું તફાવત છે? કે હિપોકેમ્પસ અને amygdala શું છે? બસ કશું મગજમાં થયું, શું થયું? ભગવાન જાણે?  કાર ચલાવતા ચલાવતા પણ આઇફોનમાં મેઇલ ચેક કર્યા વગર રહી શકતા નથી, ભલે એક્સીડેન્ટ થઈ જાય. આમ પ્લસીબો ઇફેક્ટ ઘણું કામ કરી જાય છે. પ્લસીબો ટેબ્લેટ એક નાં બદલે બે વધુ કામ આપે છે, નાની કેપ્સ્યુલ કરતા મોટી  કેપ્સ્યુલ વધારે કામ આપે છે, પિલ્સ કરતા ઇન્જેક્શન વધુ રાહત આપે છે, જેમ દર્દ વધુ તેમ પ્લસીબો ઇફેક્ટ પણ વધુ, એક રોગ માટે સાચી દવા લીધી હોય તેજ દવા બીજા રોગમાટે નકલી પ્લસીબો તરીકે વાપરો તો વધુ ફાયદો આપે છે.  એન્ડોર્ફીન્સ પ્લસીબો ઇફેક્ટ માટે જવાબદાર હોય છે.
   બસ આ બાબાઓ જાણે  અજાણે પ્લસીબો ઈફેક્ટનો ઉપયોગ કરતા હોય છે. ડૉક્ટર ખાલી એની ફીસ વસૂલ કરતા હોય છે પણ આ બાબુડીયા તો તન, મન અને ધન સુધ્ધા હરી લેતા હોય છે. આમેય આપણે એડમીશન કે નોકરી માટે પ્રયત્નો કરતા જ હોઈએ છીએ. સફળ થઈએ તો બાબા કહેશે મારા લીધે થયું, નહિ થઈએ તો ફરી એની પાસે જવાના નથી, પણ ૨૦૦૦ રૂપિયા તો ગયાને? બાબુડિયાનાં ગતકડાં જુઓ. એક ભાઈ ૨૦૦૦ રૂપિયા ભરીને ગયા. બાબો પૂછે કે સવારે દૂધવાળો આવે તો દૂધ લેવા કોણ જાય છે? ભાઈ કહે કોઈ વાર હું જાઉં કે છાપું વાંચતો હોઉં તો ઘરમાંથી બીજું કોઈ જાય. બાબો કહેશે બસ દૂધ લેવા જાતે જતા નથી ત્યાંથી કૃપા આવે છે તે અટકી જાય છે. પેલાના ૨૦૦૦ રૂપિયા તો પડી ગયા. બીજાને કહેશે ફલાણા મંદિરે જાઓ છો?  મંદિર નજીકમાં હોય તેના વિષે કહેશે. જો તમે કહો ના તો કહેવાનો મંદિરે જતા નથી માટે કૃપા અટકી ગઈ છે. અને કહેશો હા જાઉં છું તો પૂછવાનો વચમાં શું આવે છે? તમે કહેશો વચમાં કોઈ નાનું દેરું આવે છે, બસ ત્યાં નળિયેર વધેરતા નથી માટે કૃપા અટકી ગઈ છે. તમને પૂછીને બહાનું શોધતા વાર કેટલી??સાવ બકવાસ બાલીશ ગતકડાં કાઢતો નિર્મળબાબા આજે મોટો સેલીબ્રીટી બની ચૂક્યો છે.
ખેરાલુ બાપુ પછી જેલમાં ગયેલા.
ધર્મ એક લાયસન્સ છે લોકોને ડફોળ બનાવી લૂંટવાનું. પેલો પ્રખ્યાત અશોક જાડેજા એકના ડબલ કરી આપતો હતો તેને જેલમાં પણ નાખેલો, અને આ બાબુડીઓ જેલમાં નહિ જાય કેમકે એની પાસે ધર્મનું લાઈસન્સ  છે. ટીવી ચેનલો બીજી જાહેરાતોની જેમ કેમ કહેતી નથી કે આ પેડ પ્રોગ્રામ છે?  pseudo spiritualism એક જુનો રોગ છે ભારતમાં. બધા આમાં સંડોવાયેલા છે, કિરીટભાઈજી, રમેશ ઓઝા, મોરારીબાપુ, સ્વર્ગસ્થ પાંડુરંગ દાદા અને હવે દીદી, આશારામ, રામદેવબાબા થી આજના નિર્મલબાબા સુધી. કેટલાના નામ લખીશું??