હસતું હસાવતું વ્યક્તિત્વ.

હસતું હસાવતું વ્યક્તિત્વ.

‘બાપુ ઘોડા પલાણો’

 ‘હા!બસ હમણાં આવ્યો સમજો,પણ ટટ્ટુ ઉપર’

પ્યારા મિત્ર યશવંતભાઈનાં બે દિવસથી ફોન આવતા હતા.પણ અહી આવીને બે ત્રણ લગ્ન સમારંભ અને બીજા સામાજિક કામોમાં એવું વ્યસ્ત થઇ જવાયું કે એમને ફોન કર્યા પછી જઈ શકાતું નહોતું.કાલે સવારે એમની હસતી હસાવતી તળપદી ભાષામાં કહ્યું કે બાપુ હવે તો ઘોડા પલાણો.હોન્ડાની કે બીજી કોઈ બાઈક ઉપર જાઉં તો ઘોડો કહેવાય,પણ નાનકડા સ્કૂટીને તો ટટ્ટુ જ કહેવાય ને?એક સ્વચ્છ,સુઘડ ઘરમાં એવા જ સંસ્કારી અને મુખ પર નિર્દોષ આડંબર વિનાનું હાસ્ય ફરકાવતા એક ભારતીય સ્પર્શનો અનુભવ કરાવતા પ્રેમાળ કુટુંબને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

ખૂબ વાતો કરી.ખૂબ હસ્યા.શબ્દે શબ્દે હળવો કટાક્ષ પીરસવાની એમની આવડત અદ્ભુત છે.આ મોંઘવારીના જમાનામાં સસ્તો કટાક્ષ શ્રી યશવંતભાઈનો હોઈ શકે ખરો?માટે જ મેં એકવાર લખેલું કે ગુજરાતી સાહિત્ય જગત એક સારા હાસ્ય લેખકની કદર કરવાનું ચુકી રહ્યું છે.પણ એમને તો એમના વખાણ કરીએ તો પણ રોકે.મને તો બસ એમને સંભાળવાની મજા આવી.કવિશ્રી રમેશ પારેખ સાથેની એમની મુલાકાતોની વાતો હોય કે કહેવાતા ચિંતક શ્રી ગુણવંત શાહ સાથે અછડતી મુલાકાતની વાતો હોય,એમનો હાસ્ય રસ બસ પીધા જ કરો.બડકમદાર શ્રી ચંદ્રકાંત બક્ષી સાહેબને પણ ખૂબ યાદ કર્યા.બક્ષી સાહેબ એક કહેવાતા ચિંતકની ચિંતન કણિકાઓ વિષે શું કહેતા તે યાદ કરીને પણ ખૂબ હસ્યા કે બધા સારા સારા શબ્દો જેવા કે સત્ય,અહિંસા,પ્રેમ જેવા અનેક શબ્દો જુદી જુદી ચિઠ્ઠીઓમાં લખી એક કટોરામાં હલાવીને ભેગી કરી નાખો,એમાંથી થોડી ઉપાડીલો અને ચિંતન કણિકા બનાવી નાખો.વાહ!બક્ષી સાહેબને કોઈ ના પહોચે.ગુજરાતી સાહિત્ય જગતમાં એમના જેવો કોઈ મર્દ પાક્યો નથી.

શ્રી યશવંતભાઈની વાર્તાઓ ચાંદનીમાં આવતી હતી.સરવાણીમાં આવતા ચર્ચાપત્રોની જૂની સ્મૃતિઓ જોઈ.પ્રો.જશવંત શેખડીવાળા કોઈ કૃતિની વિવેચના કરતા ત્યારે કહેતા કે તેઓ કૃતિને નજર સમક્ષ રાખે છે,કૃતિકારને નહિ.ઘણા સમર્થ સાહીત્યકારોની કૃતિ નબળી પણ હોઈ શકે અને નવોદિતની કૃતિ સબળ હોઈ શકે.જાણીતા અધ્યાત્મનાં આફરાને વરેલા શ્રી સુંદરમની નબળી કૃતિઓ પણ એમની ઝપટમાં બચી શકી નહોતી.શ્રી યશવંતભાઈની સબળ કૃતિઓ આપણે માંણી ચુક્યા છીએ.જયારે એનું પ્રમાણ પ્રો.જશવંત શેખડીવાળા આપે ત્યારે પછી શું પૂછવાનું હોય?

મને કવિતાઓ માણવાનું ગમે,પણ જ્યારે કલ્પનાઓના તરંગમાં ઉડતી કવિતાના બદલે ધરતી સાથે જોડાયેલી કવિતા મળી જાય તો માણવાનું ખૂબ ગમે.અને એવી કવિતા કરતો કવિ એટલે શ્રી યશવંતભાઈ.એક હાસ્ય લેખક,વાર્તાકાર,ગઝલકાર અને કવિ ઘણી બધી ખૂબીઓ એકસાથે.ભવાઈ નાટકો એમની આગવી ખૂબી.

શ્રી જુગલભાઈ,શ્રી ધોળકિયા સાહેબ,શ્રી અશોકભાઈ અને બીજા બીજા મિત્રોને ખૂબ યાદ કર્યા.શ્રી હેમંતભાઈ પુણેકરને ખાસ યાદ કર્યા.રૂબરૂ મળનારા મિત્રોમાં હેમંતભાઈ પછી હું હતો.હેમંતભાઈ શુદ્ધ ગુજરાતી ઉચ્ચારે,એમના ઉચ્ચારમાં ‘શ’ અને ‘સ’નો ભેદ પણ પરખાઈ જાય.અરે અનુસ્વાર પણ પરખાઈ જાય.કોઈ ગુજરાતી પણ આટલી ચોકસાઈ ના રાખે.એક મહારાષ્ટ્રીયન મિત્ર પાસે થી ગુજરાતી મિત્રોએ શીખવા જેવું છે.મેં અગાઉ પણ કોઈ પ્રતિભાવમાં લખેલું કે આપણો કોઈ મિત્ર મરાઠીમાં કશું લખે છે ખરો?હેમંતભાઈ ગુજરાતીમાં કવિતા કરે તે ગૌરવની વાત છે.અને જયારે એમની સ્વર શુદ્ધતાની વાતો શ્રી યશવંત ભાઈના મુખે સાંભળી ત્યારે??શ્રી હેમંતભાઈને એક સલામ!!

ઘેર મહેમાન મળવા આવી ચુકેલા હતા,ફોન પર ફોન આવતા હતા.પણ અમારી વાતો ખૂટતી નહોતી.ફરી મળવાનું વચન આપી મેળવી મારા યાંત્રિક ટટ્ટુ પર બેસી,ધૂળ ફાકતો,ગરમી વેઠતો,પ્રદુષણના ઘૂંટડા ગળતો ઘેર ભાગ્યો.છતાય કોઈ ઊંઘમાંથી ઉઠાડી પૂછે તો હું કહીશ કે મારું પ્રિય શહેર વડોદરા છે,દેશ મારો ગુજરાત,ભારત મારો આત્મા અને હું છું એક ગર્વિષ્ઠ ગુજરાતી.

આતમ પ્રવેશ,સ્વદેશાગમન

topographic map of India
Image via Wikipedia

હું લખતો હોઉં છું કે ભારત મારો આત્મા છે,અને ગુજરાત મારો દેશ.પ્યારા મિત્રો ૧૯ ફેબ્રુઆરીની રાત્રે એક વાગ્યે ભારતની આર્થિક રાજધાની એવા મુંબઈ ખાતે લુફ્થાન્સા એર લાઈન દ્વારા મારા આત્મા સમાન ભારતમાં ઉતર્યો.એક પ્યારી ઉત્તેજના હતી.અંગત કારણોસર જુદા જુદા પ્લેનમાં આવવાનું થયેલું.દીકરા યુવરાજસિંહ બેત્રણ કલાક વહેલા આવીને મારી રાહ જોતા હતા.હું મ્યુનિક ઊતરીને ચાર કલાક ત્યાં સમય પસાર કરી બીજા પ્લેનમાં બેઠેલો એ બહાને મ્યુનિક (જર્મની) એક સુંદર,અતિશય સ્વચ્છ અને અત્યંત આધુનિક એરપોર્ટ જોવા મળ્યું.અત્યંત મોંઘી એવી બ્રાંડ નેઈમ વસ્તુઓના સ્ટોરમાં ફરતા ફરતા મારી નજર પડી એક સાઈન બોર્ડ ઉપર જ્યાં “ॐ” લખેલું જોયું,સાથે જોયું તો બીજા ધર્મોના ચિન્હો પણ હતા.આગળ વાચ્યું તો યોગા અને પ્રેયર રૂમ ની દિશા દર્શાવતો એરો હતો.હા!મિત્રો યોગા અને પ્રાર્થના કરવા માટે એક અલગ રૂમની વ્યવસ્થા હતી.ચાલો ભારતના યોગની કદર વિદેશીઓ તો કરે છે.આપણે યોગના નામે ભોગ કરીએ છીએ,ભોગમાં પણ કશું ખોટું નથી.પણ યોગના,સાધુતાના નામે ભોગ કરવો તે દંભ કહેવાય.મને અહી કન્ફ્યૂજન હતું કે મારી બેગ મુંબઈ જતા પ્લેનમાં બદલાઈ જશે કે નહિ?કે મારે જાતે બેગ મેળવીને ફરી જમા કરાવવી પડશે?જોકે me મ્યુનિક ઊતરીને પહેલું પૂછી લીધું તો કહે તમારે ચિંતા કરવાની જરૂર નથી.પણ એક યુ.એસ.થી આવેલા ભાઈની બેગના અનુંશન્ધાનમાં માઈક પર જાહેરાત થઇ તો હું પણ ગભરાયો.ફરી ત્યાં સર્વિસ સેન્ટર પર જઈ ને પૂછ્યું.આ લોકોનો વિવેક જોઇને ખુબ માન થાય અને આપણે ત્યાના કર્મચારીઓની તોછડાઈ જોઇને ખુબ ગુસ્સો આવે.જોકે મારે ચિંતાનું કારણ નહોતું. પહેલા વિદેશી એર લાઈનમાં ભારતીય ભોજન એમાય શાકાહારી ભોજન અલભ્ય હતું.પણ મને અગાઉથી સિલેક્ટ કર્યા મુજબ દાલ ફ્રાય અને રાઈસ સૌથી પહેલો આપી ગયો.એવી રીતે મ્યુનીકથી પણ શુદ્ધ શાકાહારી સ્વાદીસ્ટ ભોજન ભરપેટ મળી ગયું.નુવાર્કથી મ્યુનિક સુધી તો પ્લેનમાં હું એકલોજ ભારતીય હતો,પણ મ્યુનિકથી લગભગ ભારતીયો જ વધુ હતા.આગળની સીટમાં નાનો ટીવી સ્ક્રીન લગાવેલો હોય છે,ત્યાંથી તમે ફિલ્મો,મ્યુજિક અને ટીવી શો દેખી શકો છો.બાજુમાં બેઠેલા એક શ્વેત ભાઈ પંડિત રવિશંકરનું સિતારવાદન સાંભળતા હતા.પ્લેનમાં પણ વિદેશી એર હોસ્ટેસ અને દેશી એર હોસ્ટેસ વચ્ચેનો ભેદ પરખાઈ આવતો હતો.બે એર હોસ્ટેસ ભારતીય પંજાબી હતી.એમની વાણીમાં ભારતીયો પ્રત્યે તોછડાઈ અને વિદેશીઓ પ્રત્યે યંત્રવત વિવેક દેખાઈ આવતો.જ્યારે વિદેશી એર હોસ્ટેસ સદાય હસતી જણાતી.એરાઈવલ સિક્કા મરાવ્યા પછી મુંબઈમાં આગળ વધ્યો ત્યાં સફેદ(Custom) કપડામાં લુંટારા સ્વાગત કરવા તૈયાર ઉભા હતા,એમને મદદ કરવા ખાખી(Police) કપડા પહેરેલા લુંટારા મૂછમાં મલકાતા ઉભા હતા,ચાલો બકરાઓ આવી ગયા છે હલાલ કરી નાખીએ.એના પહેલા જ્યાં તમારી બેગ્સ લેવા ઉભા હોય ત્યાં એમના દલાલો આવી જતા હતા અને પૂછતાં કે બેગ બહાર કઢાવી નાખવી છે?કોઈ તકલીફ કે ચેકિંગ વગર?૫૦ ડોલર્સ થશે.બહુ રકજક કરોતો ૩૦ ડોલર્સ.તો પછી સ્કેનીગ વખતે આરામથી બેગ બહાર નીકળી જાય.પેલો ભાઈ બેગ બેલ્ટ ઉપર મુકે એટલે સમજી લેવાય કે જવા દો.પૈસા ચૂકવાઈ ગયા છે.જાતે મુકો તો આવી બન્યું,સમજાઈ જવાય કે પૈસા ચૂકવ્યા નથી.હજાર વાંધા કાઢશે.શું શું લાવ્યા છો?આટલા બધા પરફ્યુમ્સ એક સાથે લગાવશો?ચાર ઘડિયાળ એક સાથે બાંધશો?બધું ફેંદી નાખશે.નકલી જ્વેલરીને અસલી છે તેવું કહેશે,૨૦૦ રૂપિયાની ઘડિયાળના ૧૨૦૦૦ કહેશે.છેવટે તમારે પૈસા એટલે લાંચ ચુકવવા મજબુર થવું પડે તેવું વાતાવરણ ઉભું કરી નાખશે.એક ખાખી લુંટારાને બોલાવી કહેશે જાવ સામેની રૂમમાં અને આને ૫૦ ડોલર્સ આપી દો.ટૂંકમાં ૫૦ ડોલર્સ આપી દો તો RDX ભરેલી બેગ પણ નીકળી જાય.કોઈ ફિકર નહિ. હું આ બધો સિનારિયો લાઈનમાં ઉભો ઉભો જોતો હતો.મારી બેગમાં કશું હતું નહિ.જે હતું તે અગાઉથી ક્લીયર કરાવી યુવરાજસિંહ ઉભા હતા.me વાતો સાંભળેલી પણ મારો આવો પહેલો અનુભવ હતો.દીકરા અગાઉ બે વાર આવી ચુકેલા હતા.એમણે શોર્ટ કટ અપનાવી લીધેલો.તમે પહેલી વાર વિદેશથી આવો તો સગા સંબંધી અને મિત્ર મંડળ માટે કશું લાવો તો ખરાજ ને?દીકરાને ખબર કે બાપુ ઝગડી પડશે માટે મારી બેગમાં કપડા સિવાય કશું મુકેલું જ નહિ.બે દીકરાઓ મોર્ડન સંબોધન પપ્પા કહે છે જ્યારે આ વચલા યુવરાજસિંહ કાયમ ભારતીય ટચ વાળું સંબોધન બાપુ કહે છે જે મને ખુબ વહાલું લાગતું હોય છે. બરોડા આવવા માટે ડોમેસ્ટિક પર વહેલા આવી ગયેલા,સમય ઉપડવાનો ૫-૧૫ જેવો હતો.ત્યાં બેઠા હતા અને ૬ વર્ષે પહેલી વાર આવ્યો તો સૌથી પહેલું સ્વાગત કરવા એક જુનો મિત્ર આવી પહોચ્યો.કાનમાં ગણગણાટ કરી એક ચટાકો ભરી ભવ્ય સ્વાગત કરી ગયો.જતા જતા કહેતો ગયો કે વેલકમ હોમ.મારા હાથનું હલન ચલન જોઈ,દીકરા હસતા હતા.હેમખેમ વડોદરે પહોચી તો ગયા.છ વર્ષે મોટા દીકરા ધ્રુવરાજસિંહને મળ્યો.ચાર દિવસ તો સાહસ ચાલ્યું નહિ કે દ્વિચક્રી વાહન લઈને એકલા બહાર જવાનું.દાંડિયા બાઝાર અગ્નિ શાંતિ કેન્દ્ર ચાર રસ્તે ખરા બપોરે ટ્રાફિક સિગ્નલ લાઈટ બંધ જોઈ ખુબ આશ્ચર્ય થયું.આજે એક જુના પ્યારા વડોદરાના નંબર વન ફોટોગ્રાફર મિત્ર રશ્મીન શાહને મળવા ગયો.me કહ્યું આવું કેમ ટ્રાફિક સિગ્નલ બંધ કેમ હોય છે?તો કહે અહી અન્ડર સ્ટેન્ડીગ ખુબ હોય છે.ટ્રાફિક સિગ્નલ બંધ હોય તો કોઈ વાંધો ના આવે.બધા એકબીજાને સમજીને વાહન આગળ ચલાવી લે.અમે બંને ખુબ હસ્યા. ખાસ તો મારા ૮૫ વર્ષના વૃદ્ધ “બા”ને મળવા આવ્યો છું.પ્યારા મિત્રો હમણા બ્લોગ પર નિયમિત આવી નહિ શકું,લખી નહિ શકું,કોમેન્ટ્સ એપ્રુવ નહિ કરી શકું,તો ક્ષમા કરશો.

વ્યાયામ,ધ્યાન અને લાંબુ નીરોગી જીવન,Telomeres વધારો.

વ્યાયામ,ધ્યાન અને લાંબુ નીરોગી જીવન,Telomeres વધારો.
યુનીવર્સીટી ઑફ કેલીફોર્નીયા(સાન ફ્રાંસીસ્કો)નાં  મહિલા પ્રોફેસર એલીઝાબેથ બ્લેકબર્ન,નોબલ પ્રાઇઝ વિનર ૨૦૦૯(મેડીસીન),એમણે ક્રોમોઝોમના અંતિમ છેડાઓ(telomeres) વિષે જબરદસ્ત સંશોધન કર્યું છે.આ છેડા જેટલા વધારે લાંબા હોય તેટલું આરોગ્ય વધારે સારું,ઉચ્ચ ગુણવત્તા ધરાવતું અને જીવન પણ નીરોગી અને લાંબું હોય.પણ આ telomeres વધારવા શું કરવું પડે?એમના કહ્યા પ્રમાણે એકસરસાઈઝ કરો.કસરત નિયમિત કરો.વ્યાયામના ખૂબ ફાયદા છે તેમાં આ એક નવું સંશોધન ઉમેરાયું.બીજું મેડીટેશન પણ telomeres ને વધારે છે.ફિશ ઓઇલ પણ એમાં ખૂબ ફાયદાકારક છે.હવે આ telomeres ટૂંકા હોય તો જીવન ટૂંકું અને આરોગ્ય સારું ના હોય તે સ્વાભાવિક છે.એને માટે સ્ટ્રેસથી દૂર રહેવું. બચપણમાં કોઈ માનસિક આઘાત કે ઈજા થઈ હોય તો આ telomeres ટૂંકા રહી જાય છે.
આપણે જાણીએ છીએ કે લાંબું અને નીરોગી જીવન જીવવા માટે બીજા ઘણા બધા પરિબળ આધાર રાખતા હોય છે.પણ આ નવા રિસર્ચને અવગણી શકાય તેમ નથી.કારણ મેડીટેશન,યોગ અને પ્રાણાયામ દ્વારા ભારતમાં લોકો લાંબું નીરોગી જીવ્યા છે.મૂળ વાત એ છે કે ભારતમાં જ યોગની કદર નથી.યોગના સૌથી વધારે ૧૫૦ કરતા વધારે પેટન્ટ અમેરીકનો પાસે છે.યોગના આસનો સ્ટ્રેસ ઓછો કરે છે.યોગ સ્ટ્રેસ મૅનેજમેન્ટ માટે ખૂબ વપરાય છે.આપણે એટલાં બધા અકર્મણ્ય બની ચૂક્યા છીએ કે યોગામાં કશું તો કરવું પડે છે તેટલું પણ કરવા તૈયાર નથી.કોઈ ફાન્દાળો સાધુ જોઈ મને કાયમ થાય કે બાપુ ખાલી ખાઈપીને તગડા થવામાં સમજ્યા છે.નૌલી કરનારનું પેટ કદી વધે નહિ.યોગના નામે બેસી રહેવા પેધેલા સાધુઓ ભારતનું કલંક છે.ધ્યાન કરો પણ એનો સમય હોય છે.ચોવીસે કલાક ધ્યાનના નામે આળસુઓ બેસી રહેવા પેધેલા છે.જાપાન જેવા દેશો જુઓ યોગા કરી બેસી રહેતા નથી,ખૂબ કામ કરે છે.જાપાનમાં કોઈ અનપ્રોડક્ટીવ નથી.ભારતમાં સાધુઓ અનપ્રોડક્ટીવ છે,બીજાની મહેનતનું ખાઈ જાય છે.જ્યારે આપણે બીજા દેશોમાં આપણો યોગા બહુ ચાલે છે તેના બણગાં ફૂન્કીયે ત્યારે ભૂલી જઈએ છીએ કે ભારતમાં યોગા બહુ પ્રચલિત નથી.ખાલી બુક્સમાં પ્રચલિત છે,પ્રેકટીસમાં નહિ.અમેરિકા અને બીજા દેશો એનો હકારાત્મક ઉપયોગ કરી કામની ક્ષમતા વધારે છે,જ્યારે આપણે એનો નકારાત્મક ઉપયોગ કરી બેસી રહેવા કામચોરી કરવા પેધેલા છીએ.
યોગના આસનો હળવી કસરત છે.આ બધી સ્ટ્રેચિંગ કસરત છે.એનાથી સ્નાયુઓ ખેંચાય છે લચીલા બને છે.જે લોકો ભારે કસરતમાં રસ ના ધરાવતા હોય તેમણે આસનો કરવા જોઈએ.સવારે યોગના આસનો અને કલાક ધ્યાન કરી નોકરી કરવા જવાય.એના માટે ભગવા પહેરી બેસી રહેવાની જરૂર નથી.
કસરત કરો,ધ્યાન કરો,આસનો કરો,સ્ટ્રેસ ઓછો થાય તેવા પ્રયત્ન કરો,બાળકોને કોઈ માનસિક આઘાત લાગે તેવું ના થવા દો,બાળકોને કોઈ ભારે ઈજામાંથી બચાવો.ક્રોમોઝોમના છેડા(Telomeres)ને લાંબા કરો,સુખી,નીરોગી અને લાંબું આયુષ્ય ભોગવો.
રેફરન્સ–Thomas Plante, PhD., ABPP is Professor of Psychology and Director of the Spirituality and Health Institute at Santa Clara University

Thomas Plante

“વેલેંટાઈન” પ્રેમીઓનું પર્વ Hard Truths About Human Nature.

 
સર્વ મિત્રોને સંત વેલેંટાઈનની યાદમાં ઊજવાતા પ્રેમીજનોના પર્વ નિમિત્તે શુભકામના.
આપણે પ્રેમની મૂર્તિની પૂજા કરીએ છીએ, શરૂમાં પ્રેમ કરીએ છીએ, અંતમાં રડીએ છીએ અને વચમાં મોટા બગાસાં ખાઈએ છીએ. સંબંધની શરૂઆતમાં પ્રેમની તીવ્રતા ખૂબ હોય છે, જુસ્સો આવેગ પુષ્કળ હોય છે, પણ પછી બધું ધીમે ધીમે હોલવાતું જાય છે. આધેડ અને વૃદ્ધ દંપતી સરવૈયું કાઢવામાંથી ઊંચા આવતા નથી. અને નવા પરણેલાનો જુસ્સો ઓછો થતો જતો હોય છે.તો શું કરીશું કે પ્રેમનો આવેગ અને રસ તીવ્રતા જુસ્સો જળવાઈ રહે? નવું રિસર્ચ કહે છે કે,

૧)સ્પર્શ:—ઘણા બધા પુરાવાઓએ ઓક્સીટોસીન(“cuddle hormone”)નું રોમૅન્ટિક મહત્વ સાબિત કર્યું છે. જ્યારે આપણે આપણાં ચાહિતા લોકોને સ્પર્શ કરીએ છીએ ત્યારે ઓક્સીટોસીન ખૂબ વિપુલ પ્રમાણમાં સ્ત્રવે છે.  જેટલું સ્પર્શનું પુનરાવર્તન એટલું ઓક્સીટોસીન પણ વધુ છૂટે છે. એનાથી સંબંધોમાં નજદીક જવાય છે અને વિશ્વાસ વધે છે. જે ફરીથી સ્પર્શ કરવા માટે પ્રેરે છે. આમ એક શુભચક્ર ચાલુ થાય છે. આ એક હકારાત્મક લાગણીઓનું આત્મિક જોડાણ છે. આવુજ સત્ય સેક્સ વિષયક પણ છે. જેટલા સેક્સમાં વધારે ઊતરો, વધારે સારું બ્રેઈન કેમિકલ ડોપામીન છૂટે છે. જેનાથી સેક્સમાં ઊતરવાનું વધુ મન થાય. હવે જો સમય ના મળે તો તમે પ્રેમીજનોને શક્ય વધુ આલિંગન આપો, કિસ કરો અને ત્વચા સાથે સ્પર્શ કરો. સ્કીન ટુ સ્કીન કૉન્ટેક્ટ વધારો.

૨)અખિયા મિલાકે:– નજરનું અનુસંધાન પણ ખૂબ મહત્વનું છે. આંખોમાં આંખો મિલાવીને જુઓ, અહી પણ ઓક્સીટોસીન કામ કરી જાય છે. એકબીજા પ્રત્યે આકર્ષણ વધે છે. પાર્ટનરનો હાથ હાથમાં લઈને બેસો નજરથી નજર મિલાવો એનાથી ઓક્સીટોસીન લેવલ વધશે. અને ઓક્સીટોસીન લેવલ વધતા ફરી હાથમાં હાથ લઈને બેસી નજર મિલાવી વાતો કરવાનું વધુ મન થશે. આખા દિવસની ચઢાવ ઉતારની વાતો શેર કરો. પણ નજરસે નજર મીલાકે

૩)સાંભળો:–એકબીજાની વાતો સાંભળો. એકબીજાના અનુભવો. લાગણીઓ, ભય, ઉદાસી, ખુશી અને પ્રસન્નતા બધી વાતો કરો. પણ સાંભળવું જરૂરી છે. એનાથી પાર્ટનરને લાગશે કે તમે એનું ધ્યાન રાખો છો. ખાલી સાંભળવાથી પણ ઘણા પ્રશ્નો હાલ થઈ જતા હોય છે. તણાવ દુર થઈ જતો હોય છે.

૪)હસો ભાઈ હસો:—હસવું પણ ખૂબ અગત્યનું છે. એકબીજા સાથે મજાક કરો, સારી હ્યુમર સેન્સ વિકસાવો, હાસ્ય ટુચકા કહો. હાસ્યરસ શ્રેષ્ઠ રસ છે. એનાથી ડોપામીન વધુ છૂટશે, ટેસ્ટોટેરોન લેવલ ઊંચું આવશે જે સ્ત્રી અને પુરુષમાં સેક્સ સેટીસફેક્શન માટે ઈંધણ સમાન છે.

૫)અન્વેષક બનો:–નિત્ય નવીનતા આકર્ષણ વધારે છે. એકની એક વાતથી બોર થઈ જવાય અને કંટાળી જવાય છે. નિત્ય નવા ઉપાયો અજમાવો. પર્સ અને કોટમાં પ્રેમભર્યા ચબરાકિયાં લખી મૂકો, નવા રેસ્ટોરેન્ટમાં જાવ,  હીલ પર ફરવા જાઓ, પર્વતારોહણ કરવા જાઓ. ઉત્સાહપ્રેરક નવું અજમાવો. ચોકલેટ અને ફૂલ આપો. ડોપામીન લેવલ આવી રીતે વધવાનું છે.

વેલેંટાઈન દિવસના પ્રેમીજનોના પર્વ નિમિત્તે આનાથી સારી ટીપ્સ બીજી કઈ આપું???

Sexual satisfaction tends to play a role in a happier marriage, and happier marriages play a role in greater sexual satisfaction. And we know that people in stable, fulfilling marriages tend to be healthier. At the moment, we can simply say that a sexually satisfying and happy marriage is a very good predictor of future health and long life. By:-Dr. Howard Friedman’s ::-For more information on The Longevity Project see http://www.howardsfriedman.com/longevityproject/

દ્રષ્ટિકોણ.

Cropped image of Gandhiji and Kasturbaa from P...
Image via Wikipedia

  
દ્રષ્ટિકોણ.
જેનો પોતાનો આગવો કોઈ દ્રષ્ટિકોણ ના હોય તે બીજાના દ્રષ્ટિકોણથી વિચારે અને લખે.મારો પોતાનો એક દ્રષ્ટિકોણ છે.દરેકનો હોય છે અને ઘણાને હોતોજ નથી.હું બીજાના દ્રષ્ટિકોણથી વિચારું મતલબ એની વાત સાથે સંમત છું.કે હું કોઈ બીજાની આંખે જોઉં તો એની દ્ગષ્ટિ સાથે સહમત છું.પણ મારી પાસે પોતાની આંખ છે.કોઈ વાર બીજાનો દ્રષ્ટિકોણ ભાવી જાય કે અનુરૂપ આવી પણ જાય.કોઈ વાર એનો નજરિયો અને આપણો એક પણ હોઈ શકે.મને ગાંધીજી  પ્રિય છે માટે હું એમની વિવેચના કરું છું.ગાંધીજીની પ્રમાણિકતા મને ભાવે છે.સામાન્ય માનવોમાં વિશ્વાસ,એમની સેવા કરવી બધું ભારતીય નહોતું. અહી તો કર્મનો નિયમ લાગે છે.જેવા જેના કરમ.દુખી હોય તો એના કરમ.સેવા માય ફૂટ.પણ ગાંધીજીની દરેક વાત હું માની ના શકું.હવે એમના બ્રહ્મચર્ય વિશેના ખયાલ ટીપીકલ હિંદુ કે ભારતીય એવા અવૈજ્ઞાનિક હતા.હવે એમના નજરિયાથી જોઉં તો મારે એમના આ અવૈજ્ઞાનિક ખ્યાલોને માન્યતા આપવી પડે કે ગાંધીજી સાચું કહેતા હતા.ગાંધીજી ૪૦ વર્ષ પછી બ્રહ્મચર્યનું વ્રત લેતા હતા,અને બીજા યુવાનોને વ્રત લેવાનું દબાણ કરતા.આ એક અકુદરતી હતું.અહી મારે દ્રષ્ટિકોણ બદલાય છે.એમની વાત સાથે સંમત થઈ નથી શકતો.ગાંધીજી સેક્સ ને જીતી લેવા આખી જીંદગી મથ્યા.ટીપીકલ હિંદુ કે જૈન વિચારો કે ઇન્દ્રિયોને અને સેક્સ ને જીતી લો.ગાંધીજી ગ્રેટ હતા.વિથ રીસ્પેક્ટ એમના બ્રહ્મચર્ય વિશેના ખયાલો સાથે સંમત ના થવાય.અહી એમની આંખે જોઈ ના શકાય.પણ ડિયર ડોસા પ્રમાણિક હતા,કહેતા કે સેક્સ ને દિવસે તો જીતી લીધો છે પણ ૭૦ વર્ષે રાત્રે સ્વપ્નમાં સ્ખલન થઈ જાય છે.આવું કહેવાની હિંમત કોની ચાલે?જૈન મુનીઓ સેક્સ ને જીતી લેતા હશે,બીજા પણ જીતી લેતા હશે,એનર્જીના અભાવે.સેક્સ માટે પણ શરીરમાં એનર્જી તો જોઈએ કે નહિ?સાવ હાડ પિંજર સેક્સ ને જીતી લેવા સમર્થ બની શકે.અથવા તો જીતી લીધાના બણગાં ફૂંકતા હશે.ગાંધીજી જેવા બધા પ્રમાણિક ના હોય.મૂળ હિંદુ ધર્મમાં ૭૫ વર્ષ પછી સંન્યાસ હતો.
હું શું કામ બીજાના દ્રષ્ટિકોણથી વિચારું?હા મારો અને બીજાનો દ્રષ્ટિકોણ એક થઈ જાય અકસ્માતે તો બહુ સારી વાત છે.વિચારોમાં સામ્યતા હોય તો એક આંખ થઈ જાય.તે પણ બધી બાબતે ના પણ થાય.પણ ઘણી વાર મારો દ્રષ્ટિકોણ સારો લાગતો હોય પણ મન માનવા તૈયાર થતું હોતું નથી.કોઈ સાધુ મહારાજનો સિક્કો વાગવો જોઈએ.કંડીશનિંગ!!સાધુ કહે તે સાચું,સંસારી મારા જેવો કહે તો ખોટું.ઘણાને શરૂઆતમાં મારો દ્રષ્ટિકોણ બહુ ભાવે પછી નથી ભાવતો.હું તો એનો એજ છું.એનું એજ લખું છું.જુના પૂર્વગ્રહો આડે આવી જતા હોય છે.પોથી પંડિતો ભાગી જવાના.પોથીમાંથી જોઈ જોઇને લખવું સહેલું છે અને લોકોને બહુ સારું લાગતું હોય છે.આદર્શ વાતો હોય છે.એટલે શરૂમાં મારું લખાણ નવું લાગે,પણ જુના સંસ્કાર આડે આવે અને મેરા ભારત મહાનનો ખયાલ પણ આડે આવી જાય.આપણે કડવું સત્ય પચાવી શકતા નથી.અને ગળપણ મને ભાવતું નથી.મને ડાયાબિટીસ છે નહિ.જેને ડાયાબિટીસ હોય તેને નકલી ફોલ્સ સ્વીટનરની જરૂર પડે.નેચરલ શુગર પચાવી શકતા ના હોય,ઇન્સ્યુલિન ઓછું પડતું હોય કે બોડી એની સામે રેજિસ્ટ કરતું હોય ,અને શુગર વધી જાય તો પણ નુકશાન અને ઘટી જાય તો પણ નુકશાન.નકલી સ્વીટનર ખાવા પડે.ડાયેટ કોક પીવી પડે.મારે નકલી સ્વીટનર જરૂર પડતા નથી.અમારા વંશવેલામાં હાર્ટના પ્રૉબ્લેમ છે.ડાયાબિટીઝના નહિ.
શ્રી ગુણવંત શાહના એક દ્રષ્ટિકોણ સાથે મારો દ્રષ્ટિકોણ મેચ થઈ ગયો કે સાધુ તો પરણેલો સારો,પણ તરત બીજા દ્રષ્ટિકોણ સાથે મેચ ના થવાયું કે સ્ત્રીઓ સાધુઓને ચળાવે છે.છેવટે એમણે વાંક સ્ત્રીઓનો કાઢ્યો.આપણે ગ્રેટ માનતા હોઈએ એમનો વાંક દેખી શકતા નથી.રીડ ગુજરાતીમાં દક્ષાબહેન પટણીનું વક્તવ્ય વાંચ્યું કે શ્રી રામ,શૂદ્રનો વધ કરવા ધનુષ પર બાણ ચડાવ્યું ત્યારે મનમાં દુખી હતા.ભાઈ દુખી હતા અને માનતા હતા કે ખોટું થાય છે તો જાતને રોકોને?બાણ ચલાવ્યું શું કામ?રાજા હતા,બ્રાહ્મણોને કહી શક્યા હોત કે તમારો પુત્ર મૃત્યુ પામે તેમાં કોઈ શૂદ્ર તપ કરતો હોય તેના કારણે આવું થયું તેવું ના માનો.કાર્ય અને કારણનો કોઈ સંબંધ અહી નથી બેસતો.ઘેર જાવ હું કોઈને વિના વાંકે મારી નાખવાનું કૃત્ય નહિ કરું.પણ મન માનવા તૈયાર થતું નથી કે રામને પૂજ્ય માનીએ છીએ.તે ખોટું કરતા હશે?અને કર્યું તો મજબૂરી હતી,અને દિલમાં દયા હતી અને દુખી હતા.રામના અપકૃત્યના ગુણ અહી ગવાઈ ગયા કે દુખી હતા.આવા દંભ સાથે મારા દ્રષ્ટિકોણનો મેળ ના પડે.ના તો રામના નજરિયાથી જોઈ શકું ના દક્ષાબહેન પટનીના.મોરારીબાપુ બેઠાં હોય અને રામ વિરુદ્ધ બોલાય ખરું?એક મહાન રાજા મજબૂર હોય તો એની સત્તાનો શું અર્થ?
અમારે કંપનીમાં એક ગોવીન્દ્કાકા કોઈ ચર્ચા ચાલતી હોય આવી તો ખૂબ ઉગ્ર બની જતા.અમે બીજા મિત્રો સાથે અગાઉથી બ્રેક સમય પહેલા નક્કી કરી લેતા કે ગોવિંદ કાકાને આજે ખૂબ ઉકસાવવા છે.અમે પોઇન્ટ પણ અગાઉથી નક્કી કરી લેતા.એટલે એક મિત્ર પોઇન્ટ મૂકી દેતા અને ચર્ચા ખૂબ ઉગ્ર બની જતી.એક દિવસ અગાઉથી નક્કી થયા મુજબ એક મિત્રે પોઇન્ટ મૂક્યો કે આ રામે સીતાજીને ત્યાગી દીધા તે ખોટું કહેવાય.બસ એક જ વાક્ય અને ગોવિંદ કાકા ચાલુ.પેલાં મિત્ર મને કહેતા કે હું પોઇન્ટ મુકું બાકી મને એમની સાથે ચર્ચા નહિ ફાવે,આપણું કામ નહિ,એ તમે સાંભળી લેજો.ગોવિંદ કાકા કહે આતો દુનિયાનો બેસ્ટ દાખલો છે,હું કહેતો દુનિયાનો વર્સ્ટ દાખલો છે.બહુ મજા આવતી.કાકા ઉગ્ર બની લાલચોળ બની રહેતા.અમે મનમાં હસ્યા કરતા.છેવટે કાકા થાકી જતા,હું કોઈ દલીલ બચવા ના દેતો.થાકીને કહેતા કે તને સમજણ નહિ પડે.હું કહેતો કે તમને નહિ સમજાય.બધા હસતા હસતા બ્રેક પતાવી અંદર જતા.અમારા સુપર્વાઈજર કહેતા આવું ના કરો,કાકાને ઍટેક આવી જશે.
હવે શ્રી ગુણવંત શાહ કહે છે રામાયણ પ્રેમનું મહાકાવ્ય,શરૂમાં ખરું પછી નહિ.પછી શોક,દુખ,દર્દ અને એક મજબૂર સ્ત્રીની અવહેલનાનું મહાકાવ્ય.પત્ની પ્રિય હતી તો અગ્નિપરીક્ષા શું કામ.યુરોપના કોઈ મ્યુજીયમમાં ચેસ્ટીટી બેલ્ટ જોવા મળી જતા હોય છે.અગ્નિ પરીક્ષા અને ત્યાગ બધું ચેસ્ટીટી બેલ્ટ જ કહેવાય,અવિશ્વાસ.અહી રામની આંખે શું કામ જોવું.જોઉં તો અરુંધતીની આંખે જોઉં કે “રામ વડે ત્યજાયેલી સીતા વગરની અયોધ્યામાં પગ નહિ મુકું”.આખા ભારતવર્ષમાં ફક્ત એક જ હ્યુમન સીતાજીની પડખે.તે પણ અસહાય.અહી મારો દ્રષ્ટિકોણ રામ સાથે નહિ અરુંધતી સાથે મેચ થાય છે.
ગાંધીજી વ્યાયામના વિરોધી હતા,કોઈ માનશે?વ્યાયામ ગુંડા મવાલીનું કામ છે,તેવું કહેતા.અહી મારો સખત વિરોધ થાય.અહી એમના નજરિયાથી કઈ રીતે જોઈ શકું?શું શરીર સૌષ્ઠવ જાળવવું તે ગુંડાઓનું કામ છે?જે ધર્મોમાં ઉપવાસ કરી ભૂખે મરવાનું શીખવતું હોય ત્યાં વ્યાયામનું અને શરીરનું મહત્વ ના હોય.શરીરના દુશ્મન,શરીરને તપાવો,પીડા આપો.આતો હિંસા કહેવાય.એક છે બીજાને પીડા આપે છે,પરપીડન.અને બીજો પોતાને પીડા આપે સ્વપીડન બંને હિંસક.બીજાને પીડા આપવામાં સામે વિરોધ પણ થાય પોતાને આપવામાં કોણ બોલે?મારા એક જૈન મિત્રને સાવ નાની ૩૦ વર્ષની ઉંમરે પેટ ખૂબ વધી ગયેલું અને હાઈ બીપી ની તકલીફ.મેં કહ્યું ચાલો મારી સાથે જીમમાં કસરત કરી પેટ ઉતારો.ખૂબ સમજાવ્યા પણ કદી આવ્યા નહિ.મને ખબર નહિ એમના ધર્મમાં જ નથી.આપણો અભિગમ શરીર વિરોધનો રહ્યો છે.શરીર પ્રત્યે સાવ બેદરકાર.એમાયે ગુજરાતમાં તો ખાસ.કસરતનું મહત્વ જરા પણ નહિ.અમુક હિંદુ સાધુઓ અખાડીયન ખરા,પણ સ્વચ્છતાના ઠેકાણા નહિ.વિડમ્બના જુઓ જૈનોના ચોવીસે તીર્થંકર ક્ષત્રિયો હતા,રાજાઓ હતા,યોદ્ધાઓ હતા.મતલબ હિંસા શું છે તે જાણતાં હતા.ધર્મ કોણે અપનાવ્યો?  
દ્રષ્ટિકોણ આગવો જોઈએ,પોતાનો જોઈએ.કોઈની સાથે મેચ થાય તો ભલે ના થાય તો ભલે.

તુ..તુ..તુ ! ! તુ તુ.. તારા ! ! ____કરતા કૂતરાં સારા ! !

Silver fox
Silver fox (Photo credit: Wikipedia)

તુ..તુ..તુ!!તુતુ..તારા!!____કરતા કૂતરાં સારા!!

મિત્રો આ ખાલી જગ્યામાં કોઈ પણ સારા નેતાનું નામ લખી શકો છો. સારા એટલે ભ્રષ્ટાચાર કરવામાં સારા, કાબેલ. મહારથી કે જેમના સ્વીસ બેન્કોમાં અઢળક રૂપિયા હોય. કૂતરાં ઉપર હાલ ખૂબ રિસર્ચ ચાલી રહ્યું છે. બહુ સરસ જ્ઞાનવર્ધક ડોક્યુમેન્ટ્રી જોવા મળી. કૂતરાં એવું પ્રાણી છે જે માનવની સૌથી નજીક છે. લાગણીઓ અને ભાવનાઓથી માનવ સાથે  જોડાયેલું આ પ્રાણી બહુ ઉમદા ગુણો ધરાવે છે.

હવે અગાઉ એવું માનવામાં આવતું હતું કે કૂતરાના પૂર્વજ તરીકે કાયોટી, ફોકસ, જેકલ, આફ્રિકાના જંગલી શિકારી કૂતરાં હોવા જોઈએ. કૂતરાં એક ડોમેસ્ટિક ઘરેલું પાલતું જનાવર છે. બીજી શક્યતા એના પૂર્વજ તરીકે વરુની હતી. એન્થ્રોપોલોજીસ્ટ બધી શક્યતાઓ વિચારતા હતા, પણ જિન્સ હવે સાચું બોલી જાય છે. કૂતરાના પૂર્વજ વરુ છે, આફ્રિકાના જંગલી કૂતરા પણ નહિ. ૯૯.૮% કૂતરાના જિન્સ વરુને મળતા આવે છે. વરુના જિન્સ મ્યુટ થઈને ધીમે ધીમે કૂતરાં બન્યા છે. મ્યુટેશન એટલું બધું વિવિધ છે કે જાત જાતના કૂતરાની જાતો વિકસી છે.

ઈંગલેન્ડની લિંકન યુની, હંગેરી, સ્વીડન અને સાયબેરીયામાં થયેલા આધુનિક રિસર્ચ શું કહે છે તે જોઈએ.
માનવ ચહેરો એકદમ પરફેક્ટ સીમેટ્રીકલ હોતો નથી. ચહેરાના ડાબા અને જમણા બંને ભાગ થોડા જુદા જુદા હોય છે. આધુનિક કોમ્પ્યુટર સોફ્ટવેર વાપરી એક માનવ ચહેરાના બરોબર વચ્ચે થી બે ભાગ પાડો. હવે ડાબા ભાગને ઉલટાવી ફરી ડાબા ભાગ જોડે જોઈન્ટ કરો અને તેવી રીતે જમણા ભાગને ઉલટાવીને મૂળ જમણા ભાગ સાથે જોઈન  કરો.. હવે બે ચહેરા એકજ માનવના થશે અને તે બંને જુદા દેખાશે. જેટલો ચહેરો સીમેટ્રીકલ એટલો વધુ સુંદર દેખાય. હવે આપણે જ્યારે કોઈ ભાવ દશામાં હોઈએ જેવા કે ગુસ્સો, પ્યાર, ખુશી ત્યારે આપણાં ચહેરાનો જમણો ભાગ ભાવ વધારે સારી રીતે પ્રદર્શિત કરતો હોય છે ડાબો ભાગ જરા ઓછો.

માટે એક માનવ બીજા કોઈ માનવનો ચહેરો જોશે તો પહેલા જમણો ભાગ જોશે પછી ડાબો. અત્યંત આધુનિક વિડીયો કૅમેરા અને eye સ્કેનર સોફ્ટવેર વડે ઉપરની વાત સાબિત થઈ છે. હવે આપણી સામે કોઈ માનવ ચહેરો આવશે તો આપણે ઉપર મુજબ એના ચહેરાનો જમણો ભાગ પ્રથમ જોઈશું. એના માટે આપણે ડાબી તરફ જોવું પડશે.કારણ સામેની વ્યક્તિના ચહેરાનો જમણો ભાગ આપણી ડાબી તરફ હશે. માટે આપણે પ્રથમ ડાબી બાજુ જોવા માટે ટેવાયેલા હોઈ છીએ. હવે કોઈ માનવ ચહેરાને બદલે કોઈ ઑબ્જેક્ટ કે વસ્તુ હશે તો આવું નહિ બને કારણ વસ્તુને કોઈ ભાવ હોતો નથી. પશુઓ પ્રત્યે પણ આપણે એવા કોઈ ભાવ પ્રદર્શનની આશા રાખતા નથી.

કૂતરા માનવની સૌથી નજી કેમ છે તેનું રહસ્ય આ વાતમાં છે. વિકાસના ક્રમમાં માનવ સાથે રહીને કૂતરા માનવ ચહેરાનો જમણો ભાગ પ્રથમ જોવાનું શીખી ગયા છે. એટલે કૂતરા સામે કોઈ વ્યક્તિ આવે તો ડાબી તરફ પહેલા જુએ છે. માટે કૂતરા માનવનું ભાવ પ્રદર્શન વાચવાનું શીખી ગયા છે અને જાણે છે. બીજું ખાસ કે કૂતરા પણ કોઈ ઑબ્જેક્ટ કે વસ્તુ તરફ કે બીજા કૂતરા તરફ પણ આવી રીતે જોતા નથી. ખાલી માનવ ચહેરા પ્રત્યેજ આવી રીતે જુએ છે. માટે કૂતરા માનવની સૌથી નજીક લાગણીઓ અને ભાવનાઓ વડે જોડાયેલા છે. વૈજ્ઞાનિકોએ અસંખ્ય પ્રયોગો અને આધુનિક ટેકનોલોજી વડે આ સત્ય ઉજાગર કર્યું છે. બીજા કોઈ પ્રાણી આવી રીતે માનવ ચહેરાને જોતા નથી.

વરુના બચ્ચા પાળીને વૈજ્ઞાનિકોએ જોઈ જોયું, ચાર મહિનામાં પાછાં મોકલી દેવા પડ્યા. માનવની જેમ વરુ પણ સોશિયલ શિકારી પ્રાણી છે. જોડે શિકાર કરતા કરતા બંને એકબીજાસાથે નજીક આવ્યા. આર્કિયોલોજિસ્ટ કહે છે ૩૦,૦૦૦ વર્ષમાં વરુ પાલતું થઈને કૂતરા બન્યા, જ્યારે જેનેસેસિસ્ટ કહે છે વરુમાંથી જિન્સ મ્યુટ થઈને કૂતરા બનતા એક લાખ વર્ષ થયા હશે. એક કૂતરું ૩૪૦ શબ્દો જાણે છે. રમકડાનો ઢગલો પડ્યો હોય તમે જે નામ બોલો તે રમકડું કાઢી બતાવે. એક રૂમમાં રમકડા કે કોઈ પણ વસ્તુઓ રાખો, અને એવો બીજો સેટ બીજી રૂમમાં રાખો તમે જે વસ્તુ બતાવશો તેની કોપી બીજી રૂમમાંથી લઈ આવશે. વસ્તુનાં ત્રણ ડાયમેન્શન હોય છે જ્યારે તેજ વસ્તુના ફોટાને એકજ ડાયમેન્શન હોય છે. છતાં વસ્તુનો ફોટો બતાવો કૂતરું બીજા રૂમમાં જઈ તે વસ્તુ લઈ આવશે. ચીમ્પ કરતા પણ કૂતરા હાથનો ઇશારો જલદી સમજી જાય અને કહો તેમ કરે છે. હાથ ઠીક ખાલી આંખનો ઇશારો કરો તો પણ ચાલે.

સાયબેરીયા રશિયામાં એક ફાર્મમાં શિયાળ(Silver Fox) ઉપર પ્રયોગો કરવામાં આવેલા. હાલ પણ ચાલુ છે. શિયાળ ખૂબ અગ્રેસીવ હોય છે. એના પાંજરાને હાથ પણ લગાવી ના શકો. હવે ૧૦૦ માંથી એક શિયાળ જરા ઓછું અગ્રેસીવ હોય છે. તેવા શિયાળ ભેગાં કરી એમના બચ્ચા ઉછેરવામાં આવ્યા. પછી એમની પેઢીઓ ઉછેરવામાં આવી. ત્રીજી પેઢીએ આક્રમકતા ઓછી થવા લાગી. અને ૫૦ વર્ષ પછી સાવ નરમ સ્વભાવના તેડીને ફરી શકાય તેવા શિયાળ પેદા કરી લીધા છે. હવે જેમ આક્રમકતા ઓછી થવા લાગી અને માનવ સહવાસ વધવા લાગ્યો તેમ શિયાળના જિન્સ મ્યુટ થતા થતા એમના કલર અને સાઈજ અને શેપ પણ બદલાવા લાગ્યો છે. જે શિયાળ કાળાં કલરના હતા તેમાં સફેદ રંગના ધબ્બા અને કલર બદલાવ આવવા લાગ્યો છે.

જંગલી શિયાળની પૂંછ લાંબી અને આ પાલતું બનેલા શિયાળની પૂંછ ટૂંકી થવા લાગી છે અને સીધી રહેવાને બદલે વાંકી કૂતરાની જેમ થવા લાગી છે. વાંકી પૂંછ સારી નિશાની છે. ખાલી કૂતરા માટે…માનવ માટે નહિ,  માનવ વાંકો હોય તો ઝોખમી હોય છે. કદાચ થોડા વર્ષો પછી રશિયામાં લોકો કૂતરાની જેમ શિયાળ પાળવા લાગે તો નવાઈ નહિ.  પ્રોજેક્ટ ખૂબ લાંબો ચાલ્યો છે. હજુ ચાલુ જ છે. બસ અહી કૂતરા વિષે સમજાઈ જાય કે કૂતરાની જાતજાતની ભાતભાતની જાતો કેમ વિકસી છે.

કોઈ નાના બાળકનો ચહેરો જુઓ તો તમને પ્રેમ ઊભરાઈ આવશે. તમારા ચહેરાના ભાવ બદલાઈ જાય છે. કૂતરા બેબી ફેસ ધરાવે છે. મનમાં ડર ના હોય તો કૂતરાના ચહેરા બાળક ચહેરાની ગરજ સારે છે. બાળકને ધવડાવતી વખતે અને વહાલ કરતી વખતે માતાનાં શરીરમાં ઓક્સીટોસીન સ્ત્રાવ થાય છે જે તનાવ દુર કરે છે. હાર્ટનાં રોગ હોય તો ફાયદો થાય છે. મન શાંત થઇ જાય છે. માતા સિવાય બીજા લોકો જયારે બાળકને રમાડે ત્યારે પણ ઓક્સીટોસીન પેદા થાય છે, જે હેલ્થ માટે સારું છે. બસ એવુજ કૂતરાને રમાડતી વખતે ઓક્સીટોસીન પેદા થાય છે. સ્ત્રીઓને કદાચ આ કારણસર હાર્ટ એટેક ઓછા આવતા હશે.
તુ.. તુ.. તુ. તુ તુ.. તારા ! ! ભ્રષ્ટ નેતાઓ કરતા કૂતરા સારા ! ! !

Dr.Lyudmila Trut(સિલ્વર ફોકસ ઉપર સંશોધન કરનાર)

બાળકને બુદ્ધિશાળી બનાવવું છે? Hard Truths About Human Nature.

બાળકને બુદ્ધિશાળી બનાવવું છે? Hard Truths About Human Nature.

કોણ નહિ ઇચ્છતું હોય કે એમનું બાળક બુદ્ધિશાળી બને? બધાને એમનું બાળક બુદ્ધિશાળી અને સ્માર્ટ હોય તેવી ખેવના હોય છે. નવા બનેલા માતાપિતા એમના બાળકની નાનીનાની સ્માર્ટ વર્તણૂકને મિત્રોમાં ગાઈ વગાડીને કહેતા હોય છે, ગર્વ અનુભવતા હોય છે. આધુનિક મનોવિજ્ઞાન, બાયોલોજી અને ઇવોલ્યુશનરી સાયન્સ થોડી નાની નાની બાબતો કહે છે જે તમારા બાળકને વધુ સ્માર્ટ બનાવી શકે છે, વધુ બુદ્ધિશાળી બનાવી શકે છે.

રિસર્ચ કહે છે કે બાળકની માથાની સાઇઝ જન્મના પહેલા વર્ષમાં વિકાસ પામે, વધે તે પાછળથી એની બુદ્ધિમત્તા ઉપર અસર કરે છે. જન્મ સમયે બાળકના બ્રેઈનની સાઇઝ ગમે તેટલી હોય તેની કોઈ ચિંતા કરવાની નથી. પ્રથમ વર્ષમાં કેટલી વધે તે મહત્વનું છે. એટલે બાળક જન્મે અને પહેલા વર્ષમાં એના માથાની, બ્રેઈનની સાઇઝ જેટલી વિકસે તેટલું સારું. જે પાછળથી બાળક મોટું થાય તો એની બુદ્ધિમત્તા ઉપર અસર થવાની છે. એટલે જન્મ પછીનું એક વર્ષ ખૂબ મહત્વનું છે, સાંભળો છો? નવા બનેલા કે બનવાના છો તેવા માતાપિતા?

ડીએનએ સિન્થેસિસ અને જ્ઞાનતંતુઓના  વિકાસમાં ચાવી રૂપ હાર્મોન જન્મના પ્રથમ વર્ષમાં ખૂબ ઝડપથી વિકાસ પામે છે. અને આ વિકાસની ઝડપને ખૂબ બળ આપે છે સ્પર્શ. જયારે એક માતા બાળકને સ્પર્શ કરવાનું બંધ કરે છે ત્યારે ડીએનએ સિન્થેસિસ રોકાઈ જાય છે. અને ગ્રોથ હાર્મોનનો સ્ત્રાવ ઘટી જાય છે. મનોવૈજ્ઞાનિક રીતે બાળક સર્વાઈવ મોડ તરફ જતું રહે છે. આપણાં પૂર્વજ આદિમાનવ બાળકને આખો દિવસ સતત ઊચકીને ફરતા રહેતા. અને બાળકને સાથે જ સુવાડતા. આજે પણ આપણે સાથે જ સુવાડીયે છીએ. એક વર્ષનું થાય ત્યાં સુધી બાળકને સતત સ્પર્શ આપતા રહો. માતૃત્વની કેડીએ બ્લોગમાં જઈને કાંગારું પદ્ધતિ વિષે વધુ માહિતી મેળવી લેવા વિનંતી છે.

માતાનું ધાવણ ખૂબ મહત્વનું છે. માતાના ધાવણ જેવી કોઈ ફૉર્મ્યુલા શ્રેષ્ઠ નથી. બાળકો માટે મળતા તૈયાર ખોરાકના ડબલાં ખૂબ રિસ્કી છે. બાળકની ઈમ્યુન સીસ્ટમ અને ન્યુરો ટ્રાન્સમીટર્સનાં વિકાસ માટે માતાનું ધાવણ મહત્વનું છે, તૈયાર ડબલાં જોઈએ તેવો વિકાસ કરી શકતા નથી. ફૉર્મ્યુલા ફીડીંગ ડાયાબીટીસ અને બીજા રોગોનું કારણ બની શકે છે. બ્રેસ્ટ ફીડીંગ બ્રેઈનના વિકાસને ખૂબ ગતિ આપે છે, સાથે સાથે માતા સાથે લાગણીભર્યા સામાજિક સંબંધો અને વાસ્તવિક બુદ્ધિમત્તાનાં વિકાસને વેગ આપે છે. માતાના ધાવણનો કોઈ અપવાદ શોધાયો નથી. એની તુલનામાં બીજું કોઈ આવી શકે નહિ. આપણાં પૂર્વજો બાળકને ૨ થી ૫ વર્ષ સુધી માતાનું ધાવણ આપતા હતા. બે, ત્રણ કે પાંચ  વર્ષ માતાને ધાવેલું બાળક ભવિષ્યમાં ક્યારેય માતાની અવહેલના કરી શકે નહિ. માંડ છ મહિના ધાવેલું બાળક ભવિષ્યમાં માતાની અવહેલના કરે તો ફરિયાદ કરવી નહિ.

બાળકને બને તેટલું તનાવમુક્ત રાખો. જેટલું ઓછું રડે તેટલું સારું. એનાથી ન્યુરોન્સ નાશ પામતા હોય છે. માટે બાળકના હલનચલન ઉપરથી એની જરૂરિયાતો સમજી લો. એક વર્ષ સુધી આટલું ધ્યાનમાં લેવું જરૂરી છે. બાળક બોલી શકાતું નથી માટે એની જરૂરિયાતો સમજવી મહત્વની છે.

દરેક સ્તનધારી પ્રાણીઓ આ બાળ ઉછેરની પ્રાથમિક પદ્ધતિ ૩૦ મિલિયન વર્ષથી અપનાવે છે. આપના પૂર્વજો પણ અપનાવતા હતા. પણ આધુનિક જમાનામાં આપણે ભૂલતા જઈએ છીએ. આપણે બાળકને પૂરતું માતાનું ધાવણ આપતાં નથી. તો હવે યાદ રાખો,
૧)સતત સ્પર્શ આપો. નીચે મૂકશો નહિ.

૨)શાંત રાખો. તનાવમુક્ત રાખો.

૩)ઓછામાં ઓછું એક વર્ષ તો ધવડાવો. માતાના ધાવણ ઉપર જ રાખો.

REFERENCES
Darcia Narvaez, Ph.D.,Catharine R. Gale, PhD, Finbar J. O’Callaghan, PhD, Maria Bredow, MBChB, Christopher N. Martyn, DPhil and the Avon Longitudinal Study of Parents and Children Study Team (October 4, 2006). “The Influence of Head Growth in Fetal Life, Infancy, and Childhood on Intelligence at the Ages of 4 and 8 Years”. PEDIATRICS Vol. 118 No. 4 October 2006, pp. 1486-1492. http://pediatrics.aappublications.org/cgi/content/short/118/4/1486.
Hewlett, B., & Lamb, M. (2005). Hunter-gatherer childhoods.New York: Aldine.
Schanberg, S. (1995). The genetic basis for touch effects. In T. Field (Ed.), Touch and Early Experience (pp. 67-80). Mahwah, NJ: Erlbaum