શાકાહાર v/s માંસાહાર.!!!
શાકાહાર અને માંસાહાર બહુ ચર્ચાસ્પદ વિષય ગુજરાતીઓ માટે ખાસ બની જતો હોય છે.એમાં ધર્મ ભળી જતો હોય છે.ગુજરાતમાં ખાસ જૈન ધર્મના પ્રભાવમાં શાકાહારનું ચલણ વધ્યું.એમાં ધાર્મિક લોકોની શિખામણો ભળી.માંસાહાર કરીએ તો પાપ લાગે જીવ હત્યા થાય.જીવ હત્યા તો શાકાહારમાં પણ થાય જ છે.હવે આપણે ધર્મને અળગો રાખીએ.પોષણ મૂલ્ય ની દ્રષ્ટીએ જોઈએ.શુદ્ધ શાકાહારી તો દુધની બનાવટો પણ ખાય નહિ.ઘણા ઈંડા ને પણ શાકાહારમાં જ ગણે છે.
શાકાહાર:::—શાકાહાર ઘણો સારો છે.એનાથી ચરબીનું પ્રમાણ શરીરમાં ખાસ જાય નહિ.પણ પણ અને પણ ગુજરાતીઓ કે ભારતીયો અતિશય ઘી ખાઈને માંસાહારી કરતા પણ ઘણી વાર વધારે જાડીયા પાડીયા અને અદોદળા જોઈએ ત્યારે શાકાહારનો કોઈજ અર્થ રહેતો નથી.શાકાહારમાં વિપુલ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે.ખાસ તો ડાયેટરી ફાઇબર એની ખૂબી છે.જે માંસાહારમાં ના મળે.ઓમેગા-૬ પણ સારું મળે.વિટામિન-c ,a અને e પુષ્કળ મળી શકે.પોટૅશિયમ અને મૅગ્નેશિયમ પણ ખરા.અહી શાકાહારમાં ખામી ઊભી થાય છે,આયર્ન,ઝીંક,વિટામિન B 12 ,વિટામિન-D,ઓમેગા-૩,કૅલ્શિયમ વગેરેની.આયર્ન બે પ્રકારના હોય છે,Heme અને Non Heme …meat ,પોલ્ટ્રી અને ફિશમાં થી Heme Iron મળે.જે સહેલાઈથી જઠરમાં શોષાઈ જાય છે.Non Heme પ્લાન્ટ અને નટ્સ માંથી મળે જે સહેલાઈથી શોષાતા નથી.આયર્ન એ હિમોગ્લોબીન નો મધ્યવર્તી ભાગ છે જે લોહીમાં ઓક્સિજન વહન નું કામ કરે છે.આની પૂર્તિ માટે આપણે ખજૂર,અંજીર,પાલખની ભાજી.સોયાબીન્સ,રાજમા,વટાણા વગેરે પુષ્કળ ખાવું જોઈએ અને આયર્ન વિટામિન-C ની હાજરીમાં થોડું જલ્દી શોષાય છે.માટે ખોરાકની સાથે ઓરેન્જ જ્યૂસ કે બીજા ખાટ્ટા ફળોના જ્યૂસ લેવા જોઈએ.અથવા એક કેપ્સીકમ મરચાંમાં ત્રણ ઓરેન્જ જેટલું વિટામિન-C હોય છે,જે ખાધે તીખાં હોતા નથી તે લેવા જોઈએ.એનેમીયાથી બચવું હોય તો આયર્ન લેવુજ પડે.
ઝીંક માટે સોયાબીન્સ,નટ્સ ,વટાણા અને વાલ ખાવા જરૂરી છે.ઓમેગા-૩ માટે અખરોટ,ઓલિવ ઓઇલ,અવાકાડો ખાવું જોઈએ.અવાકાડો જામફળ જેવું દેખાવમાં એક જાતનું ફળ છે.B -12 કોઈ પ્લાન્ટ માંથી મળે નહિ.તેના માટે દૂધ અને ઇંડાનો વિકલ્પ રાખવો પડે.નર્વસ સીસ્ટમ અને ન્યુરોલોજીકલ ડેમેજ એની ક્ષતિ થી થાય છે.માટે B-12 ખાસ જરૂરી છે.આપણે ઈંડા ખાસ ખાતા ના હોઈએ તો આ ખામી ઊભી થવાની.દૂધ પણ સારું છે.વિટામિન D તો દૂધ અને સૂર્ય પ્રકાશમાંથી મળી જવાનું છે.એ એક તો હોર્મોન્સ નું કામ કરે છે અને શરીરમાં કૅલ્શિયમ અને ફોસ્ફરસ ને શોષીને હાડકા મજબૂત બનાવે છે.આયોડિન ની ઊણપ તો આયોડિન યુક્ત મીઠું ખાઈને પૂરી કરી શકાય છે.
શાકાહાર થી ઓબેસિટી થી બચી જવાય છે,સાથે સાથે type-2 ડાયાબીટીસ થી પણ બચી જવાય છે.વૃદ્ધો માટે શાકાહાર સહેલાઈ થી ચવાય છે અને સહેલાઈથી પચી પણ જાય છે.જયારે દાંત મોટાભાગના ખરી પડ્યા હોય ત્યારે શાકાહાર ઉત્તમ પુરવાર થાય છે.
માંસાહાર:::–માંસાહારમાં ઉત્તમ પ્રકારના લગભગ તમામ પોષક તત્વો હોય છે.વિપુલ પ્રમાણમાં પ્રોટીન,આયર્ન,કૅલ્શિયમ,વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.ખાલી ડાયેટરી ફાઈબર ની કમી હોય છે,જે સલાડ સાથે બ્રાઉન ઘઉંના લોટ ની બ્રેડ અને બ્રાઉન ચોખા ખાઈ ને પૂરી કરી શકાય છે.માંસાહાર ની ખામી તેની અંદર રહેલા પોષક દ્રવ્યોની વિપુલતા છે.એટલે જો ખાવામાં પ્રમાણભાન ના રહ્યું તો,ઓબેસિટી,હૃદય રોગ,હાઈપર ટૅન્શન,હાઈ કોલેસ્ટેરોલ અને ડાયાબીટીસ થાય છે.આમાં હાઈ બાયોલોજીકલ વેલ્યૂ ધરાવતા પ્રોટીન્સ,આયર્ન અને B-કૉમ્પ્લેક્સ B12 હોય છે.બીજું આ બધા તત્વો સહેલાઈથી જઠરમાં શોષાઈ જાય છે.જયારે શાકાહારના તત્વો પૂરતા પ્રમાણમાં સહેલાઈથી શોષતા નથી.અતિશય વજન કારણે જાતજાતના રોગ થાય છે.માટે શાકાહારી એમાંથી બચી જાય છે.માંસાહારીઓને કોલોન કેન્સરનો ભય પણ વધુ રહે છે.બીજું માંસ બરોબર કુક ના થયું હોય તો તે માંસ ની અંદર રહેલા પેરેસાઈટ તમારી અંદર શરીરમાં પ્રવેશી જવાના.
શાકાહારમાં તમારે રોજ વ્યવસ્થિત જાત જાતના કોમ્બીનેશન કરવા પડે.આજે ભાખરી શાક ચાલશે,કે આજે ઢોકળાં સાથે ચા પી લઈશું,કે ચોખાની પાપડી કે પાપડીનો લોટ ખાઈ લઈશું તેવું કરો તો પછી પોષક દ્રવ્યોની ખામી પડવાની.ગુજરાતીઓ સાંજે લગભગ આવું એકાદ ખોરાક થી ચલાવી લેતા હોય છે.દાળ,ભાત,રોટલી,સલાડ,કઠોળ ખાસ તો સોયાબીન,દૂધ,દહીં,ખાટ્ટા ફળો કે એના જ્યૂસ,થોડા બદામ અને અખરોટ જેવા નટ્સ,કેળાં,ખજૂર,પાલકની ભાજી કે ગાજર વિગેરેના વ્યવસ્થિત કોમ્બીનેશન કરીને રોજ ખાવાનું મેનુ બનાવવું પડે.એકલી પાઉં ભાજી ખાઈ લઈએ તો ના ચાલે.અહી ઈંડા અને ફિશ શાકાહારમાં ગણાય છે.ફિશમાં ઉત્તમ ઓમેગા -૩ હોય છે,કૅલ્શિયમ,ફોસ્ફરસ અને પ્રોટીન ની તો વાત જ ના થાય.દરિયા કિનારે રહેતા માછીમાર ભાઈઓ માટે ઉત્તમ પોષક દ્રવ્યો ધરાવતી અને સસ્તી અને સહેલાઈથી મળતી માછલી ખાવાનું ધર્મના નામે બંધ કરાવવું તે પાપ જ કહેવાય.આ ભાઈઓને ઓમેગા માટે બદામ અને અખરોટ ખાવી ના પોસાય.બીજું બદામ અને અખરોટમાં માછલી ની જેમ વિપુલ પ્રમાણમાં ઓમેગા અને પ્રોટીન કે કૅલ્શિયમ ના હોય.
શાકાહાર ઉત્તમ કે માંસાહાર તેની ચર્ચા પોષક દ્રવ્યોની તુલના અને તેનાથી થતા રોગોની તુલના કરીને થવી જોઈએ,ધર્મ ની દ્રષ્ટીએ નહિ.આભાર અશોકભાઈ..
