નર્કાવરોહણ (Back to Home)

નર્કાવરોહણ (Back To Home)

હવે નર્કારોહણ તો લખી નાં શકાય કે નાં સ્વર્ગારોહણ લખી શકાય. ચિત્રગુપ્તે બધી પોલ બહાર પાડી દીધી હતી. લોકોનાં અચેતન મન જ સ્વર્ગ અને નર્કનાં જનક છે. દરેકનાં નર્ક અને સ્વર્ગ જુદા જુદા છે. તિબેટમાં કાયમ પુષ્કળ ઠંડી પડે છે. તો એમના સ્વર્ગમાં ગરમ પાણીનાં ફુવારા અને જળાશયો છે. ભારતમાં ગરમી પડે તો અહીં શીતલ જળનાં જળાશયો છે. ભારતનાં સાધુઓ સેક્સને દબાવીને સાધના કરતા હોય છે માટે એમને સ્વર્ગમાં ફક્ત ૧૬ વર્ષ થી આગળ ઉંમર વધે જ નહિ તેવી સુંદર અપ્સરાઓનો સહવાસ જોઈએ છે.
એક તો પહેલા મજબૂત નરને જ નારી મળે તેવી કુદરતી વ્યવસ્થા હતી. કોઈ લગ્ન વ્યવસ્થા હતી નહિ. ઉદાલક મુનિનો પુત્ર શ્વેતકેતુ ખૂબ નાનો હતો. પણ બુદ્ધિશાળી હતો. એ સમયે લગ્નના પવિત્ર બંધન હતા જ નહિ. એક ઉદાલક કરતા વધારે વિદ્વાન બ્રાહ્મણ આવ્યો અને ઉદાલકની સ્ત્રીને કહે ચાલ મારી સાથે. સ્ત્રી એટલાં માટે લખું છું કે લગ્ન વ્યવસ્થા આવી પછી પત્ની શબ્દ આવ્યો. બ્રાહ્મણોમાં મજબૂત કોણ કહેવાય? જે વધારે વિદ્વાન હોય તે. પેલી નાના શ્વેતકેતુને અને ઉદાલકને મૂકી ને ધરાર ચાલી ગઈ. બસ નાના શ્વેતકેતુનાં મનમાં થયું કે આ કેવું? એણે મોટા થઈને લગ્નવ્યવસ્થાની રચના કરી. અને પવિત્રતાનાં વાઘા પહેરાવી દીધા.
આ પહેલા  જે ભિખારી જેવા કમજોર અને આળસુ લોકો હતા તેઓને સ્ત્રી મળતી નાં હતી. એ લોકો એ અમે તો તપસ્વી છીએ, અમે તો સ્વર્ગમાં સુંદર કન્યાઓ ભોગવવાના છીએ. બસ અને  કમજોર લોકોએ જેમ લગ્નવ્યવસ્થા શોધી કાઢી તેના પૂર્વે આ આળસુ ભારતીય  લોકોએ સ્વર્ગમાં અપ્સરાઓની કલ્પના કરી લીધી. સાથે સાથે આ આલસ્ય શિરોમણિ લોકોએ કલ્પવૃક્ષની રચના પણ કરી લીધી. જેથી ખાલી મનમાં વિચાર જ કરો ને વસ્તુ હાજર. કોઈ હાથ પગ હલાવવાના નહિ, નાં કોઈ મહેનત, નાં કોઈ મજૂરી, નાં કોઈ ઉદ્યમ. ખાલી ફક્ત વિચાર જ કરવાનો. બોલો આને શું કહેશો? કલ્પવૃક્ષ એટલે ભયંકર આળસુ લોકોનો કૉન્સેપ્ટ. આજે એજ થઈ રહ્યું છે. ભારતની મૂર્ખ પ્રજા કલ્પવૃક્ષ છે આ બાવાઓ માટે. જરા જેટલો ઇશારો અને વસ્તુ હાજર.
બાપજી કહેશે મારે વિમાનમાં રામાયણ ગાવી છે. કલ્પવૃક્ષ(મૂરખ ઘેટાં) હાજર. બાપજી કહેશે મારે હવે પાણીમાં કથા કરવી છે તો જહાજ હાજર કરી દેવાનું આ કલ્પવૃક્ષ.  હવે જ્યારે કોઈ ને કામ કરવું જ નથી ત્યારે નવરો બેઠો નખ્ખોદ વાળે તેમ છોકરાં પેદા કરે જાય છે. કશું તો કામ જોઈએ ને? જે પ્રજા ખૂબ જ પ્રવૃત્તિશીલ છે ત્યાં બાળકો ઓછા પેદા થવાના. સમય જ ક્યાં છે?  બે જૂનામાં જૂની સંસ્કૃતિઓ આલસ્ય શિરોમણિ હતી. ચીન અને ભારત, અને બંને જગ્યાએ ખૂબ વસ્તી વધી ગઈ. હવે ડ્રેગન તો કામે વળી ગયો છે, પણ ભારત?
અમુક લોકોના સ્વર્ગમાં તો સુંદર છોકરાઓ મળે છે અપ્સરાઓની જગ્યાએ. આ બધી આપણાં મનની અતૃપ્ત ઇચ્છાઓ જ છે. અચેતન મનની અતૃપ્ત વાસનાઓ. પહેલા મનોવૈજ્ઞાનિકો એને અનકોન્સયશ માઈન્ડ કહેતા હતા હવેના મનોવૈજ્ઞાનિકો એને સબકોન્સયશ માઈન્ડ કહે છે. એને ગુપ્ત ચિત્ત કે ચિત્રગુપ્ત કહી શકો. હિસાબમાં કોઈ ભૂલ જ નહિ. આ ધર્મગુરુઓનો નાર્કો એનાલિસીસ ટેસ્ટ કરવો જોઈએ, જો કેવો કાદવ નીકળે છે પછી. બૌદ્ધ લોકોના સ્વર્ગ અને નર્ક જુદા છે તેમ જૈન લોકોના પણ જુદા જુદા છે. મહાભારતનાં યુદ્ધના કારણે વળી જૈનો એ શ્રી કૃષ્ણને સાતમાં નર્કમાં નાખી રાખ્યા છે. હવે હિંદુઓ જેને ભગવાન ગણે છે તે જૈનો માટે પાપીઓ છે. પાછો જેવો તેવો પાપ કર્તા નહિ છેક નીચે સાતમાં નર્કમાં.
ત્યાં અમે બે ઋષિઓ અમને જોઈ ને છટકવા માંગતા હોય તેવું જોયું, પણ અમે એ લોકોને ઝડપી લીધા. આ તો ઋષિ પરાશર અને એમના દીકરા વ્યાસજી હતા. પરાશરને નદી પાર કરાવતી સુંદર માછીની કન્યા જોઈ ને કામાવેગ પીડવા લાગ્યો.  એટલે બહાનું કાઢ્યું કે ઉપર તારાઓ અને નક્ષત્રો સુંદર રીતે ગોઠવાયા  છે. આજે પુત્ર દાન કરીશ તો બહુ બુદ્ધિશાળી, જ્ઞાની પુત્ર પેદા થશે. એમ ફોસલાવી ને સ્પર્મદાન કરી દીધું. વાર્તાઓ ઊભી કરવાનાં નિષ્ણાત આ ઋષિને પાછી જવાબદારી તો ગમે નહિ. કામ પૂરું કે ભાગી જવાનું ભારતનાં લોહીમાં મૂકતા ગયા. એ મત્સ્ય કન્યાની કુખે પુત્ર થયો તે વેદવ્યાસ. એમને તો શું પૂછીએ? પણ વ્યાસજી ને પૂછ્યું કે,
‘મહર્ષિ, આપે ખૂબ શાસ્ત્રો રચ્યા, લગભગ બધાં પુરાણો અને ઘણું બધું. શું બધું ગણપતિએ લખેલું?’ મેં પુચ્છ્યું.
‘ભાઈ, એમાં એવું છે કે એ વખતે લખવું શેમાં? એવું કોઈ જ્ઞાન હતું નહિ, કાગળ પણ હતા નહિ. એટલે ગણપતિ એટલે મોટા માથાવાળો મતલબ મોટા બ્રેન અને યાદ શક્તિવાળાને બધું કહ્યું, તેણે સ્મરણમાં રાખ્યું અને પેઢી દર પેઢી એકનું એક રટણ કરાવીને યાદ રાખ્યું. બાકી કોઈ માનવનાં માથે હાથીનું મસ્તક ચોટે  નહિ.’ વ્યાસજીએ ઉત્તર આપ્યો.
‘પણ આપે કૃષ્ણનાં નામે ખૂબ ચડાવી દીધું કેમ?’
‘ભાઈ, બધું જ મારું લખેલું હતું, મહાભારત અને ગીતા પણ, પણ કૃષ્ણે કહ્યું એટલે ભગવાને કહ્યું કે એના ઉપર એક સ્ટેમ્પ વાગી ગયો.  લોકો ઊંધું ઘાલી ને માની લેવાનાં. ખલાસ ભગવાને કહ્યું છે, કોઈ શંકા જ નાં કરે.’
‘એમ કરીને આપે આપની ફિલસૂફી ને એક સ્ટાન્ડર્ડ રૂપ  આપી દીધું. આપે નહિ પણ ભગવાને કહ્યું છે તેમ જ લોકો માને છે અને અંધ બનીને દોરવાય છે. આ તો બિઝનેસ પોલિસી કહેવાય.’
‘સાચી વાત છે. એમાં બધું જ મારું પણ નથી. કારણ કંઠસ્થ રાખેલું એમાં દરેક પોતાનું ઉમેરતા પણ જતા. બધા પુરાણો પણ મેં નથી રચ્યા, લોકોએ મારી જ પોલિસી વાપરી ને પછી મારા નામે ચડાવી દીધું છે.’
‘પણ,  આપ લોકો છટકતા કેમ હતા?’ મેં હસતાં હસતાં પૂછ્યું.
‘ભાઈ,  હવેના રિપોર્ટરોથી ખૂબ બીક લાગે છે. અવ નવા સવાલો કરીને ગૂંચવી નાખે છે. અને એમાં આપ લોકો બહુ માહેર છો. માટે અમે ભાગતા ફરતા હતા, પણ આજે ઝડપાઈ ગયા.’
‘તો આપ આકાશમાં ગોઠવાયેલા ગ્રહો ને લીધે જ્ઞાની બન્યા હતા?’
‘ના ભાઈ નાં, એના માટે મેં ખૂબ અભ્યાસ કરેલો. એમ તારાઓની ગોઠવણી અહીં કામ નાં લાગે. અભ્યાસ નાં કરો તો કશું કામનું નહિ. બાકી મેં અભ્યાસ ના કર્યો હોત તો હું પણ રામાયણ ગાતો ફરતો હોત.’ વ્યાસજી હસી પડ્યા.
‘આપે રચેલા અને બીજા શાસ્ત્રો માટે આપ શું કહો છો?’
‘જુઓ, સાચી વાત એ છે કે એ સમયે સ્થિતિ જુદી હતી. હવે જમાનો બદલાયો છે. એમાંથી સારું રાખીને બીજા બધા ને દરિયામાં ફેંકી ને નવા શાસ્ત્રો રચવા જોઈએ, નવો એક જ ધર્મ રચાય તો સારું. અથવા તો ધર્મની જ જરૂર નથી. શાસ્ત્રોને ધર્મનું સ્વરૂપ આપવાની શું જરૂર છે? જ્ઞાનને ફક્ત શુદ્ધ જ્ઞાન રાખો, જ્ઞાનને વળી ધર્મોનાં લેબલની જરૂર હોય ખરી? જેમ આજે નવું કોઈ વિજ્ઞાન પેદા થાય છે તે આખી દુનિયા વાપરે છે કોઈ એકની માલિકીનું રહેતું નથી તેમ શાસ્ત્રો પણ કોઈ એકની માલિકીના નાં રાખવા જોઈએ. સારું હોય તે બધાનું અને  ખોટું હોય તે ફેંકી દેવાનું.’ વ્યાસજીએ લાંબો ઉત્તર આપ્યો.
વ્યાસજીને ખાસ કશું પૂછવાનું યાદ આવતું નહોતું.   હું અને રશ્મીભાઈ હવે છટકવાની વેતરણમાં હતા. હવે સમજાઈ ગયું હતું કે શરુમાં જ્યારે હું સવાલ કરતો કે પ્રભુ આપણ અહીં? ભગવાન આપ પણ અહીં? અને બધા મોઘમમાં હસતા કેમ હતા. હું અહીં નર્ક સમજીને આવેલો પણ અહીં તો?
પ્રેસિડન્ટ સ્વામી ભલે એમના સ્વર્ગમાં રાચે. આવું તો પેલાં  વિશ્વામિત્રે પણ કરેલું. ત્રિશંકુને સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે લટકાવી રાખ્યો હતો. બસ આજે પણ ભારતની પ્રજાને સાવ ત્રિશંકુ જ બનાવી દીધી છે, અધવચાળે લટકી રહેલી.
અમે ભગવાન રામજી, કૃષ્ણજી અને બીજા બધાને મળી ને કંઈક આડું અવળું પુછાઈ ગયું હોય તો ક્ષમા માંગી લીધી. બધા એ જ્યારે જરૂર પડે કોઈ સવાલ ઊઠે તો બેધડક આવી ને પૂછી  લેવાનું જણાવ્યું. ફક્ત એક વ્યક્તિને લઈને આ જગ્યા છોડવાનું મને મન થતું નહોતું. એમના સુંદરતમ પવિત્ર મુખારવિંદ અને એમના નયનમાંથી સદાયે વહેતું પ્રેમાળ હૃદય માણ્યાં કરવાનું મન થયા કરતું હતું. એમની રગે રગ અને રોમરોમમાંથી પ્રેમ જ નીતરતો હતો, એવા સીતા મૈયાને છેલ્લો સવાલ કરી ને ઉત્તરની રાહ જોયા વગર અમે પ્રસ્થાન કર્યું  કે,
‘હે, સીતામૈયા આપને પૃથ્વીલોકમાં બીજા કોઈ નહિ ને ફક્ત રામ જ મળ્યા?’