નર્કારોહણ-5
આજે નર્કારોહણનો પાંચમો દિવસ હતો. રશ્મિભાઈ કહે, ‘આજે તો કોઈ દેખાતું નથી અહીં ઉપવનમાં ક્યારના આંટા મારીએ છીએ.’
અમે થોડા વધારે દૂર ગયા. તો એક ઝાડ નીચે બેત્રણ ભાઈઓ જેવા બેઠેલા. જરા નજીક ગયા તો એક જાડિયો ખુબ બળવાન લાગતો હતો. અહીં પેલી સ્ટ્રોન્ગેસ્ટ મેન ઇન વર્લ્ડની હરીફાઈના કોઈ સ્પર્ધક જેવો. બીજો એક સોહામણો મજબૂત ઉંચો ને એક સાવ ઢીલાં પોદળા જેવા ચહેરા વાળો હતો.
રશ્મિભાઈ કહે, ‘આ તો ભીમ, અર્જુન અને યુધિષ્ઠિર લાગે છે.’
મેં કહ્યું, ‘નક્કી પેલો ઢીલાં પોદળા જેવો દેખાય છે તે જ આપણો અધર્મરાજા હોવો જોઈએ.’
રશ્મીભાઈ કહે, ‘એવું ના બોલો એ તો આખા હિન્દુસ્તાન માટે ધર્મરાજા છે.’
મેં કહ્યું, ‘જુઓ આજે આખો દેશ યુધિષ્ઠિર મેનીયાથી પીડાઈ રહ્યો છે. ઢીલાં પોદળા જેવું બની રહેવામાં ગર્વ અનુભવી રહ્યો છે. ધર્મરાજા કહેવડાવવાની લ્હાયમાં માર ખાધે જ જાય છે. આ માણસનું અનુકરણ કરવામાં દેશ પાયમાલ અને કાયર બની રહ્યો છે. નેતાઓને ધર્મરાજા બનવું છે. માટે ના તો કોઈ ગુનેગારને સજા કરી શકે છે. બસ અમે તો ક્ષમા આપવાવાળાં. શાંતિ રાખોના ગાણાં ગાયે જવાના. મને ઇતિહાસનાં આ પાત્ર ઉપર સખત નફરત.’
પણ આવ્યા છીએ તો બે બોલા મળી લઈએ.
અમને જોઈને ખુદ કાપુરુષ ઉભા થઈ ગયા ને બોલ્યા, ‘આવો! ભગવાન શ્રી કૃષ્ણે અમને જણાવી દીધેલું કે તમે લોકો અમારી ખેંચવા આવ્યા છો.’
‘હું તો આપને ધર્મરાજા નહિ કહી શકું, જ્યાં જ્યાં ધર્મરાજા આપને માટે લખ્યું હોય છે ત્યાં ત્યાં આગળ “અ” લગાવીને જ વાચું છું.’
‘તમારી મરજી, અમને કોઈ વાંધો નથી. પણ એકલાં તમારા કહેવાથી ભારતના લોકો માનવાના નથી. કારણ દેશમાં મારા જેવાની બહુમતી છે.’
‘એક તો પહેલું એ કે મોટાભાઈનાં નાતે આપે નાના ભાઈઓને ખોટી રીતે વશમાં રાખ્યા અને કાયમ કદ પ્રમાણે વેતરતા રહ્યા.’
‘એ તો હજુ આજે પણ એવું જ ચાલે છે. મોટાભાઈઓ એમનું મહત્વ બતાવવા એવું જ કરે, તમારા અડવાણી કાયમ એવું જ કરે છે ને? નાના ભાઈઓ બલિદાનો આપવા માટે જ હોય છે.’
‘દ્રૌપદીના કેસમાં પણ આપ લુચ્ચાઈ રમી ગયા, અને વગર મહેનતે એ જમાનાની સુંદરતમ સ્ત્રી ઉપર હક જમાવી લીધો.’
‘જુઓ ભાઈ, એ જમાનામાં શ્રેષ્ઠતા સાબિત કર્યા વગર આવી સ્ત્રી મળે નહિ. જે અમારો એક અર્જુન જ કરી શકે તેમ હતો.’
‘પણ એમાં આપ રમત રમી ગયા, અર્જુનની મહેનત કૌશલ્ય અને ફાયદો બધાએ લીધો.’
‘જુઓ એ જમાનામાં બહુ પતિત્વનો રિવાજ હતો, અને અમે જાણતા હતા કે અમારા માતુશ્રી દરેક વસ્તુ સ્વાભાવિક બધા ભાઈઓ વહેંચીને ખાઓ એવું જ હંમેશા કહે છે. એનો અમે લાભ લઈ લીધો. માતાશ્રીને એવું કહ્યું જ નહિ કે સ્ત્રી લાવ્યા છીએ.’
‘એટલે સ્ત્રીને વસ્તુ સમજવી આસાન હતું કેમ?’
‘લગભગ એવું જ, અને માતાશ્રીની આજ્ઞાનું પાલન કરવું પડે તેવું સમજાવી અર્જુનને આગળ બોલવા જ ના દીધો, અને અમારું કામ થઈ ગયું.’
‘આપને લોકો ધર્મરાજા કેમ કહેતા હશે તેની જ નવાઈ લાગે છે, એક પત્નીને જુગારમાં કઈ રીતે મૂકી શકો?’
‘જુઓ ભાઈ, એ જમાનામાં પત્નીને વસ્તુ સમજતા ને પથારીમાં રમવા રમકડું જોઈએ, બસ પૈસા ને મિલકત ખૂટ્યા તો એને મૂકી દીધી.’
મેં કહ્યું, ‘અધર્મરાજ હું તો આગળ કશા સવાલ કરવા માંગતો નથી. મને તો આપના ઉપર બહુ ગુસ્સો આવે છે. આપે એક તો ભાઈઓને ધર્મના નીતિનિયમોના નામે કશું કરવા દીધું નહિ. જ્યાં લડવાનું આવ્યું ત્યાં ભાઈઓને આગળ કર્યા. અને બાકીની જગ્યાએ આગળ રહીને માન ખાટ્યે જ રાખ્યું. પાંચમાંથી ફક્ત બે જ ભાઈ ભીમ અને અર્જુન જ શક્તિશાળી હતા. એમનો ખુબ ઉપયોગ કર્યો ને જરૂર પ્રમાણે ધર્મના નામે; નીતિના નામે કદ પ્રમાણે વેતરે રાખ્યા. જે કીલર આક્રમકતા જોઈએ સર્વાઈવલ થવા માટે તે તમારામાં હતી નહિ અને બે ભાઈઓમાં હતી તેને ઠંડી પાડતાં રહ્યા. બિનજરૂરી આજ્ઞાપાલન કરાવતા રહ્યા. એટલે જ આજે આખો દેશ આજ્ઞાપાલક બની ગયો છે.’
રશ્મિકાંત બોલ્યા, ‘નેતાઓ ઇચ્છે કે પ્રજા અમારી આજ્ઞાનું પાલન કરે. અને નીચેની કેડરના નેતાઓનો ભોગ લીધા કરે. આજ નેતાઓ પાછાં બીજાની આજ્ઞા પાળે, ખાસ તો અમેરિકાના નેતાઓ કે પ્રમુખની આજ્ઞા પાળવામાં ગર્વ અનુભવે. આપણી જ સરહદમાં વાડ કરવા ગયા ને ચીની ભાઈ નારાજ થયા તો બંધ કરી દીધું. હિન્દી ચીની ભાઈ ભાઈ, ભાઈ નારાજ ના થવો જોઈએ. પછી ભલે ઘરમાં આવીને મારી જાય. ઘણી વાર તો એવું લાગે કે દુર્યોધન તમારાથી સારો. નપુંસક તો ના લાગે. અને મહાભારતકારે પણ લખ્યું છે કે એક રાજા તરીકે દુર્યોધન શ્રેષ્ઠ રાજા હતો.’
મેં કહ્યું, ‘એક તો દ્રૌપદીને પણ જીભ ઉપર કાબુ રાખવા સમજાવી ના શક્યા. એક પોતાની પત્નીને ભરી સભામાં જ્યારે નાલાયકો નગ્ન કરી રહ્યા હોય ત્યારે નીચું ઘાલીને જોઈ રહ્યા હતા. ભીમ કે અર્જુન જેવાને પણ બકવાસ નીતિનિયમોની આડમાં ઉભા થવા ના દીધા. એટલે જ આજે જ્યારે કોઈ અફજલ કે કસાબ નામનું મચ્છર ભારત માતાના ચીર આખી દુનિયાની સભા વચ્ચે ખેંચીને નગ્ન કરી નાખે છે ત્યારે ધર્મરાજાઓ(નેતાઓ) નીચું મો ઘાલી બેસી રહે છે. કૃષ્ણ ક્યારે આવે તેની રાહ જોવામાં ભારત માતાને નગ્ન થતી અટકાવવાનું એક પગલું જાતે ભરતા નથી. કાયમ અમેરિકા સામે લાચાર નજરે જોઈ રહે છે. અમને મદદ કરો.’
અધર્મરાજ નીચું ઘાલી ને ટેવ પ્રમાણે સાંભળી રહ્યા હતા. ભીમ અને અર્જુન પણ મોટાભાઈ સામે નારાજગી ભરી નજરથી જોઈ રહ્યા હતા. પણ વર્ષો જૂની આદત શું બોલે? ઊંઘમાં પણ આજ્ઞા પળાઈ જાય એટલી હદે ભારતીયોના મન કુંઠિત થઈ ગયેલા છે. ઢીલાં પોચા અને નબળા લોકોને આપણે ધર્મરાજ કહીને બિરદાવીએ તો લોકો તો એવા બનાવામાં ગૌરવ જ અનુભવે.
અમારે માતા કુંતીને મળવું હતું; પણ ક્યાંય દેખાયા નહિ. મારું મન જરા ધર્મરાજ સાથે વાતો કર્યા પછી ઉદ્દીગ્ન થઈ ગયું હતું. માતુશ્રી ક્યાંય દેખાય તો એમને પણ થોડા સવાલો કરી લઈએ. ખેર કાલે જોઈશું વિચારી અમે ભીમ અને અર્જુનને વિચારમાં મૂકીને ચાલતી પકડી.
રશ્મીભાઈ કહે, ‘તમે તો જબરું ભાષણ ઠોકી દીધું. મને તો બીક લાગતી હતી.
મેં પૂછયું કેમ? ‘તમે પણ ગુસ્સો ઉતાર્યો જ હતો ને?’
તો રશ્મીભાઈ કહે, ‘આ ધર્મરાજને ખોટું લાગી જાય ને પેલાં ભીમને આજ્ઞા આપે કે માર આ લોકોને, પછાડી ને પટકી નાખ, તો ભીમ કાયમની ટેવ પ્રમાણે અચેતન રૂપે આજ્ઞા પાળી લે તો આપણે તો મરી જઈએ. આપણું મિશન અધૂરું રહે.’
મને પણ થયું કે વાત તો સાચી. એ વખતે ખ્યાલ ના રહ્યો. પણ હવે ઝડપ કરો ચાલો ભાગો. અમે તો ભાગ્યા. સાચી જ વાત છે ને આજે પણ ધર્મરાજાઓની આજ્ઞા પાળીને લોકો નથી તૂટી પડતાં? વિચારે જ ક્યાં છે?
મંદિર તોડો, મસ્જિદ તોડો, તોડો ગુરુદ્વાર,
બંધના એલાનો આપો દેશ કરો ખુવાર.